દાદા ભગવાન પ્રરૂપિત
પૈસાનો વ્યવહાર
સંકલન : ડૉ. નીરુબેન અમીન
સંપાદકીય‘‘અણહક્કના વિષયો નરકે લઈ જાય.’’ ‘‘અણહક્કની લક્ષ્મી તીર્યંચ (પશુયોનિ)માં લઈ જાય.’’ - દાદાશ્રી સંસ્કારી ઘરાણામાં અણહક્કના વિષયો પ્રત્યે જાગૃતિ ઘણી ઘણી જગ્યાએ પ્રવર્તે છે પણ અણહક્કની લક્ષ્મી સબંધીની જાગૃતિ જડવી બહુ મુશ્કેલ છે. હક્કની અને અણહક્કની લક્ષ્મીની સીમા જ જડે તેમ નથી, તેમાંય આ ભયંકર કળિકાળમાં ! પરમ જ્ઞાની દાદાશ્રીએ એમની સ્યાદ્વાદ દેશનામાં આત્મ ધર્મના સર્વોત્તમ ટોચના સર્વે ફોડ આપ્યા છે એટલું જ નહી, પણ વ્યવહાર ધર્મના પણ એટલી જ ઊંચાઈના ફોડ આપ્યા છે. જેથી નિશ્ચય વ્યવહારની બન્ને પાંખે સમાંતરે મોક્ષમાર્ગે ઊડાય ! અને આ કાળમાં વ્યવહારમાં જો સૌથી વિશેષ પ્રાધાન્ય મળ્યું હોય તો તે એક પૈસાને ! અને એ પૈસાનો વ્યવહાર જ્યાં સુધી આદર્શતાને ન વરે ત્યાં સુધી વ્યવહાર શુદ્ધિ ગણાતી નથી. અને જેનો વ્યવહાર બગડયો તેનો નિશ્ચય બગડ્યા વિના રહે જ નહીં ! માટે પૈસાનો અણીશુદ્ધ વ્યવહાર તે આ કાળને લક્ષમાં રાખીને દાદાશ્રીએ સુંદર વિશ્લેષણ કર્યું છે. અને એવો અણીશુદ્ધ આદર્શ લક્ષ્મીનો વ્યવહાર તેઓશ્રીના જીવનમાં જોવા મળ્યો છે, મહા મહા પુણ્યશાળીઓને ! ધર્મમાં, વેપારમાં, ગૃહજીવનમાં લક્ષ્મી સંબંધી જાતે ચોખ્ખા રહી તેઓશ્રીએ જગતને એક અજાયબ આદર્શ દેખાડ્યો. તેઓશ્રીનું સૂત્ર, ‘વેપારમાં ધર્મ ઘટે પણ ધર્મમાં વેપાર ન ઘટે’ બન્નેમાં આદર્શતા ઊઘાડી કરે છે ! તેઓશ્રીએ એમનાં જીવનમાં અંગત એક્સપેન્સ (ખર્ચ) માટે ક્યારેય કોઈનો એક પૈસો પણ સ્વીકાર્યો નથી. પોતાના પૈસા ખર્ચીને ગામેગામ સત્સંગ આપવા જતા, પછી તે ટ્રેનનો હોય કે પ્લેનનો હોય ! કરોડો રૂપિયા, સોનાના દાગીના તેઓશ્રી આગળ ભાવિકોએ ધર્યા છતાં તેઓશ્રી તેને અડ્યા નથી. દાન કરવાની જેને ખૂબ જ દબાણપૂર્વકની ઈચ્છા હોય તેવાઓને લક્ષ્મી સારા રસ્તે મંદિરમાં કે લોકોને જમાડવામાં વાપરવા સૂચવતા. અને તેય તે વ્યક્તિની અંગત આવકની માહિતી તેની પાસેથી તેમજ તેના કુટુંબીઓ પાસેથી ચોકસાઈથી મેળવી, બધાંની રાજીખુશી છે એમ જાણીને પછી હા કહેતા ! સંસાર વ્યવહારમાં આદર્શપણે રહી, સંપૂર્ણ વીતરાગ પુરુષ આજ દિન સુધી જગતે ભાળ્યો નથી, એવો પુરુષ આ કાળમાં ભાળવા મળ્યો. એમની વીતરાગ વાણી સહજ પ્રાપ્ય બની. વ્યવહાર જીવનમાં આજીવિકા માટે લક્ષ્મીપ્રાપ્તિ અનિવાર્ય છે, પછી તે નોકરી કરીને કે ધંધો કરીને કે અન્ય કોઈ રીતે હોય, પણ કળિયુગી ધંધો કરતાંય વીતરાગની વાટે કઈ રીતે ચલાય, તેનો સચોટ માર્ગ દાદાશ્રીએ પોતાના અનુભવના નિચોડ દ્વારા પ્રગટ કર્યો છે. જગતે કદી જોયો તો શું પણ સાંભળ્યોય ના હોય એવો અજોડ ભાગીદારનો ‘રોલ’ પોતે જગતને દેખાડ્યો. આદર્શ શબ્દ પણ ત્યાં વામણો લાગે, કારણ કે આદર્શતા એ તો મનુષ્યોએ અનુભવોથી નક્કી કરેલી વસ્તુ છે. જ્યારે આ તો અપવાદરૂપ આશ્ચર્ય છે. વેપારમાં ભાગીદારી નાની ઉંમરથી, ૨૨ વર્ષની વયથી જેમની સાથે કરી તે ઠેઠ સુધી તેમનાં બાળકો સાથે પણ આદર્શ રીતે તેમણે ભાગીદારી નિભાવી. કોન્ટ્રાક્ટના ધંધામાં લાખો કમાયા, પણ નિયમ એમનો એ હતો કે પોતે નોન-મેટ્રિકની ડિગ્રી સાથે નોકરી કરે તો કેટલો પગાર મળે ? પાંચસો કે છસો. તે એટલા જ રૂપિયા ઘરમાં આવવા દેવાય. બાકીના ધંધામાં રાખવાના જેથી ખોટ વખતે કામમાં આવે ! અને આખી જિંદગી આ નિયમને વળગી રહ્યા ! ભાગીદારને ત્યાં દીકરા-દીકરીઓ પરણે તેનો ખર્ચો પણ તેઓશ્રી ફિફટી-ફિફટી પાર્ટનરશિપ (પચાસ-પચાસ ટકા ભાગીદારી)માં કરતા ! આવી આદર્શ ભાગીદારી વર્લ્ડમાં ક્યાંય જોવા મળે ? દાદાશ્રીએ ધંધો આદર્શપણે, અજોડપણે કર્યો, છતાં ચિત્ત તો આત્મા પ્રાપ્ત કરવામાં જ હતું. ૧૯૫૮માં જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ વર્ષોનાં વર્ષો સુધી ધંધો ચાલુ રહ્યો. પણ પોતે આત્મામાં રહી ને મન-વચન-કાયા જગતને આત્મા પમાડવામાં ગામેગામ, જગતના ખૂણેખૂણે પર્યટન કરવામાં વિતાવ્યાં. એ કેવી તે દ્રષ્ટિ સાંપડી કે જીવનમાં વ્યાપાર-વ્યવહાર અને અધ્યાત્મ બન્ને ‘એટ એ ટાઈમ’ સિદ્ધિની શિખરે રહીને થઈ શક્યું ! લોક સંજ્ઞાનું પ્રાધાન્ય જ લક્ષ્મી છે, પૈસાને જ અગિયારમો પ્રાણ કહ્યો છે, તે પ્રાણસમા પૈસાનો વ્યવહાર જીવનમાં જે થઈ રહ્યો છે, તે સંબંધેના આવન-જાવનના, નફા-નુકસાનના, ટકવાના અને આવતે ભવ જોડે લઈ જવાના જે માર્મિક સિદ્ધાંતો છે તથા લક્ષ્મી સ્પર્શનાના જે નિયમો છે, તે સઘળાને જ્ઞાનમાં જોઈને, વ્યવહારમાં અનુભવીને વાણી દ્વારા જે વિગતો મળી તે આ ‘પૈસાનો વ્યવહાર’ સુજ્ઞ વાચકને જીવનભર સમ્યક્ જીવન જીવવા સહાયક થશે, એ જ અભ્યર્થના ! - ડૉ. નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ સમર્પણઅણહક્કના પૈસામાં પાંગરેલા અધોગામી માનવોને જ્ઞાનીએ પ્રરૂપેલ સમ્યક્ સમજણ થકી અણીશુદ્ધ આદર્શ ‘પૈસાનો વ્યવહાર’ ઉત્થાન કરાવી ઊર્ધ્વગામી કરાવવા જગત કલ્યાણ અર્થે પાનખરની આંધીમાંથી બહાર કાઢનાર તરુવર વસંતને પરમ ઋણીય ભાવે સમર્પણ ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ છે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. ઉપોદ્ઘાત(૧) લક્ષ્મીજીનું આવન-જાવનજ્યાં પ્રીતિ ત્યાં એકાગ્રતા ! પ્રભુમાં પ્રીતિ તો પ્રભુ ભક્તિમાં એકાગ્રતા ને પૈસામાં પ્રીતિ તો પૈસા ગણતાં એકાગ્રતા. જેની કિંમત સમજાય તેના પર પ્રીતિ બેસે ! લક્ષ્મી મહેનતથી મળે કે અક્કલથી ? મહેનતથી મળતી હોય તો મજૂરોને ત્યાં જ રેલમ્છેલ જોવા મળે ! ને અક્કલથી મળતી હોય તો મુનીમો ને ચાર્ટર્ડ એકાઉન્ટટોને ત્યાં વધુ હોય કે મિલમાલિકોને ત્યાં ? તો તો પછી અક્કલવાળાને અથવા મજૂરોને ગરીબી જ ક્યાંથી રહે ? જન્મતાં જ રાજલક્ષ્મી ભોગવનારની ક્યાં અક્કલ કે મહેનત વપરાઈ ? હકીકતમાં તો લક્ષ્મી તો પુણ્યશાળીઓની આગળ-પાછળ ફરે છે. પુણ્ય શેનાથી બંધાય ? ભગવાનને સમજ્યા વિણ ભજ્યા અગર તો પારકા પર ઉપકાર કર્યા, પરનું ભલું કર્યું, તેનાથી પુણ્ય બંધાય. અજાણતાં દેવતામાં હાથ ઘાલે તોય દઝાય તો ખરુંને ? પરોક્ષ ભક્તિ પણ પાંસરી રીતે કરે, તેને ઘેર લક્ષ્મી ના ખૂટે કદી. સખત મહેનત ને વળતર ઓછામાં ઓછું એ થોડુંક પુણ્ય કહેવાય. વાણીની મહેનતથી કમાય (વકીલોની જેમ), તેનું થોડું વધારે પુણ્ય કહેવાય અને વાણી નહીં પણ માનસિક માથાકૂટથી લક્ષ્મી મળે તે ઉત્તમ પુણ્ય ગણાય અને ઉત્તમમાં ઉત્તમ પુણ્ય કયું તો કે સંકલ્પ કરતાંની સાથે જ બધું તે પ્રમાણે હાજર થઈ જાય !!! વધુ લક્ષ્મી ગદ્ધામજૂરી કરાવે. પાપાનુબંધી લક્ષ્મી તીર્યંચમાં લઈ જાય. પુણ્યાનુબંધી પુણ્યવાળાને વાંધો નથી. આમાં એવા દાનેશ્વરી ફાવી જાય. મહેનત કરનારાય હોય ને નિરાંતે ભોગવનારાય હોય ! મહેનત કરનારામાં કર્તાપણાનો અહંકાર હોય ને ભોગવનારાને ભોક્તાપણાનો રસ મળે. ભોગવી જાણે એ ડાહ્યો કહેવાય. નાખી દે એ ગાંડો કહેવાય ને મહેનત કરે એ મજૂર કહેવાય ! લક્ષ્મી હાથના પરસેવા જેવી છે. કોઈને વધારે આવે ને કોઈને ઓછી આવે. બરકત વગરનાને ત્યાં લક્ષ્મી વધારે આવે. બરકતવાળા એટલે જાગૃત હોય, તેને ત્યાં લક્ષ્મી પ્રવેશ કરે નહીં. કારણ કે આ જેટલો જાગૃત તેટલો જ કષાયી હોય. પાપાનુબંધી પુણ્યથી લક્ષ્મી અઢળક હોય પણ તે ક્લેશ કરાવે ને અધોગતિનાં કર્મો બંધાવે અને પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં નિરંતર અંતરશાંતિ સાથે ભવ્ય વૈભવ હોય ! ઊંચાં સંસ્કારી કુટુંબોમાંય રોજ સવારના નાસ્તામાં ક્લેશની વાનગી હોય ! એવું આ કાળમાં થઈ ગયું છે ! આ કાળની લક્ષ્મી જ એવા માઠા પ્રકારની પેઠી છે કે મન કલુષિત રાખે અને નિર્મળ લક્ષ્મી હોય તો સુખ-શાંતિ આપે. સંપૂજ્ય દાદાશ્રી પોતાની નીતિ ખુલ્લી કરતાં કહે છે, ‘અમે તો નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા ના દેવી અને જોડે એ પણ નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધામાં લાખો રૂપિયા કમાય પણ આ ‘પટેલ’ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે, માટે ઘેર એટલા જ રૂપિયા વપરાય’ તે એમણે છેક સુધી એ નિયમ સાચવેલો. લક્ષ્મી પર ટેકો દઈને હાશ ના કરાય ! એ ટેકો ક્યારે ખસી જાય એ કહેવાય નહીં. વિનાશી વસ્તુઓમાંથી મેળવેલું સુખ પણ વિનાશી હોય ! પૈસામાંથી મેળવેલું સુખ ટેમ્પરરી છે માટે ત્યાં હાશ કરવા જેવું નથી. સુગંધ સહિતની લક્ષ્મીનો સ્વીકાર તો ભગવાનેય કરે ! આ કાળમાં એવી લક્ષ્મી દુર્લભ હોય ! આયુષ્યનું એક્સટેન્શન મળે છે ? જો ના મળતું હોય તો લક્ષ્મી પાછળ આંધળી દોટ શાને ? આ જગતમાં સંડાસ જવાની પણ કોઈની સ્વતંત્ર શક્તિ નથી ! તો પછી પૈસા કમાવાની સત્તા હાથમાં ક્યાંથી હોય ? અને એ હોય તો કોઈ નાનામાં હાથ ઘાલે ? ટાટા-બિરલા જેવા જ થઈને ના ફરે ? ઈટ હેપન્સ ! પૈસા કમાવામાં બહુ ધ્યાન ના અપાય. એ તો એની મેળે જ અપાઈ જાય. કેટલાય સંજોગો ભેગા થાય ત્યારે લક્ષ્મી ભેગી થાય ! આ તો ભ્રાંતિથી માને છે કે હું કમાયો. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કમાવી આપે છે. પોતાની પાસે મિલકત કેટલી બધી છે !!! બે આંખોની કિંમત કેટલી બધી ? બે હાથ, બે પગ, મગજ, કાન, નાક આ બધાંની કિંમત કેટલી અંકાય ? આટલી બધી મિલકત છે છતાંય લોકો ‘મારી કને કશું નથી’ કરીને નકામા દુઃખી થયા કરે છે ! આ જગતમાં દુઃખ છે જ ક્યાં ? જેનો ઉપાય ના હોય, એને દુઃખ કહેવાય જ કેમ ? જ્યારે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે હાયવોય કર્યા વગર ધીરજ રાખવાની જરૂર છે. ધંધાની પ્રતિકૂળતા આવે ત્યારે આત્માની અનુકૂળતા કરી લેવાની. ભક્તિમાં-જ્ઞાનમાં ત્યારે રહેવાનું. આપણને તો અનુકૂળતા અને પ્રતિકૂળતા બન્નેમાં ફાયદો જ છે. ‘અનુકૂળતા એ દેહનું ફૂડ (ખોરાક) છે અને પ્રતિકૂળતા એ આત્માનું વિટામિન છે. એક કલાક આ ‘દાદા ભગવાન’નું નામ લે તો પૈસાના ઢગલા થાય ! પણ લોકો એવું કરે નહીં ને ! ઈન્કમટેક્સના લાખો રૂપિયા દબાવી દીધા હોય અને પાછું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્સ બચાવું એનું જ ધ્યાન કર્યા કરે ને તીર્યંચ ગતિ બાંધે. કરોડો રૂપિયા હોવા છતાં અંતરશાંતિનો છાંટોય મળે નહીં. એવા શેઠિયાના બંગલામાં વૈભવ ભોગવે કોણ ? એ પોતે નહીં. રસોઈયા ને નોકરો જ ! જેમ વધારે મિલકત તેમ વધારે ગૂંચવાડા ! એકલો હતો તેમાંથી શાદી કરીને પાર વગરનો વધાર્યો ગૂંચવાડો !! આમ મનુષ્યપણું વેડફાઈ રહ્યું છે ! જીવનનિર્વાહ તો વાંદરા-કૂતરાં, બિલાડાંનેય ગામમાં જ મળી આવે ને આપણા મનુષ્યોને ઠેઠ દરિયાપાર જવું પડે છે. તે નિર્વાહ માટે કે લોભને માટે ? તેમ છતાંય બેંકમાં કેટલા લાખ જમે થયા ? લોકોએ નાણાંને જરૂરિયાત માની છે એટલે નાણે નાથાલાલ ને નાણા વગરનો નાથિયો કહેવાયો. નાણા વગરનો એટલે સેન્સ વગરનો, નોનસેન્સ ગણાય. જ્યારે નાણાંની જરૂરિયાત નહીં રહે ત્યારે નાણું ઊભરાશે. આંધળો વણે ને વાછરડો ચાવે. કમાય કોણ ? ભોગવે કોણ ? ને મહેનત નકામી જાય, એનું નામ સંસાર. પૈસાની પાછળ ગમે તેટલી હાયવોય કરી તો પણ પૈસાદારમાં કોનો પહેલો નંબર આવ્યો આ રેસકોર્સમાં ? પહેલો નંબર લાગે એકને ને બાકીના ઘોડાઓને હાંફી મરવાનું જ ને ? લોભ જ દોડાવે છે ને ! સ્કૂલમાં પાસ થતા’તા, પણ હાર્ટમાં ફેઈલ થઈ જાય, બબ્બે મિલો હોય તોય ! જ્ઞાની પુરુષ રેસકોર્સમાં ક્યારેય ઊતરે નહીં. એ તો છેટા રહીને રેસ જોયા કરે કે કોને પહેલો નંબર લાગ્યો ને કોણ કોણ ખાલી હાંફી મર્યા !! પૈસા જ જોડે લઈ જવાના હોત તો આ લોક તો કેવા છે કે દસ લાખનું દેવું કરીને પોટલાં બાંધીને જોડે લઈ જાય અને છોકરાં નિરાંતે દેવું ચૂકવે પાછળથી ! બે નંબરના પૈસા ભેગા કરવાથી પશુયોનિના બંધ પડે ! સંતોષ રાખ્યો રખાય નહીં. જેટલી સાચી સમજણ હશે તેટલો પરિણામરૂપે સંતોષ રહેશે. લક્ષ્મી માટે વિચાર કરાય નહીં. એ વ્યવસ્થિતને આધીન આવે છે ને જાય છે. એ ધર્મમાં પડો તોય એટલી જ આવે ને અધર્મમાં પડો તોય એટલી જ આવે. પણ ધર્મના ફળથી સુખી થશે ને અધર્મના ફળથી દુઃખી થશે ! જેટલો હિસાબ હોય એટલી જ લક્ષ્મી આવે ને હિસાબ હોય એટલી જ લક્ષ્મી ટકે. તમારે કામ કર્યે જવું એ ફરજ છે અને પૈસા એની મેળે આવે છે. પૈસાના ધ્યાનમાં ન પડાય. એનાથી ચંચળ થઈ જવાય ! પૈસાની પાછળ દોટ મૂકે તેમ તે દૂર જાય. એ તો જેમ ઊંઘ એની મેળે જ આવે તેવી રીતે લક્ષ્મી એની મેળે આવે, એને સંભારવી ના પડે. જન્મ વખતે જેટલી જાહોજલાલી હોય, તે આખી જિંદગીનું ધોરણ તે પ્રમાણેનું હોવું જોઈએ. બીજું બધું એક્સેસ છે જે ઝેર છે. ચિંતાવાળાને ત્યાં પૈસો ક્યાંથી આવે ? આનંદીને ત્યાં પૈસો આવે ! પૈસો સસ્તો તો માણસ સસ્તો ને પૈસો મોંઘો તો માણસ મોંઘો ! મોંઘવારી વધે તેમ છતાંય વસ્તુનો વપરાશ તેટલો જ રહે છે ! માટે હિસાબ કેમનો બંધાયેલો હોય છે ? કે પૈસાથી નહીં, વસ્તુથી. તે વસ્તુ મોંઘી હોય કે સસ્તી હોય, મળી જ રહે, કુદરતી રીતે. બુદ્ધિના આશયમાં જે ભરી લાવ્યા હોય, તે મળે પણ તેમાં પુણ્ય આપણું ખર્ચાઈ જાય. પૈસા, મોટર - બંગલા, છોકરો - વહુ એમાં ભર્યું હોય તો તે મળે ને સો ટકા ધર્મમાં જ નાખ્યા હોય તો તે મળે ! બુદ્ધિનો આશય ભરતી વખતે જેવી સમજણ મળેલી હોય તેવું ભરે ! પૂર્વે ઇચ્છા કરેલી તેને આધારે અત્યારે વસ્તુ પ્રાપ્ત થાય છે. પણ વર્તમાન સંયોગો બદલાતાં તેની ઇચ્છા બદલાય છે પણ વસ્તુ તો પૂર્વ ઇચ્છા મુજબની જ ભોગવવાની રહે છે, તેથી ભયંકર સંઘર્ષ અનુભવે છે જીવનમાં. પુણ્યની લિંક શરૂ થાય ત્યારે અંધારામાં હાથ ઘાલે તોય એક પછી બે, બે પછી ત્રણ, ત્રણ પછી ચાર એમ ક્રમબદ્ધ લિંક પ્રમાણે હાથમાં આવે ! ને પાપનો ઉદય હોય તો સત્તાવન પછી સાત ને સાત પછી બે આવીને ઊભું રહે, માટે જીવનમાં માણસે ચેતતાં રહેવું જોઈએ. પાપનું પૂરણ કરતાં તો કર્યું પણ જ્યારે એ પાપનું ગલન આવશે ત્યારે દેવતાથી દઝાયા જેવો કપરો ભોગવટો આવશે. પુણ્યનું ગલન થશે ત્યારે અનેરી મજા આવશે ! માટે પૂરણ કરતાં વિચાર કરજો ! ખરેખર ભોગવટો રૂપિયાથી કે વેદનીયથી ? કુદરત તો ભોગવટો વેદનીયથી જ જુએ છે ! કરોડો રૂપિયા હોય પણ અશાતા વેદનીય હોય તો તેને જોવામાં આવે છે, નહીં કે રૂપિયાને ! અગિયાર લાખ કમાયો તેમાંથી પચાસ હજારની પાછળથી ખોટ ગઈ તો મૂઓ જીવ બાળ્યા કરે. ‘અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કર ને !’ પ્રામાણિકતાથી, ચોખ્ખી દાનત સહિત મેળવેલું નાણું જ સુખ આપે. કળિયુગમાં નાણું આવે ને પુણ્યથી જ આવે પણ બંધ પાપના પાડતું જાય, પાપાનુબંધી પુણ્ય ! એ ના હોય તે જ સારું ! નર્યું પાપ જ બંધાવે ! લક્ષ્મી કેટલી હોવી જોઈએ ? ભીડ નહીં ને ભરાવોય નહીં. કંતાઈ જાય કે સોજા ચડે - બન્ને કામનું જ નહીં ને ! લક્ષ્મી તો ચલતી ભલી ! રૂંધાયેલી લક્ષ્મી દુઃખ આપે. નોટો ગણતાં કેટલો ઉપયોગ વેડફાય ? એના કરતાં બે ઓછા હોય તો તે ચાલે, એટલું તો ગણવાનું મહેનતાણામાં જાય ! લક્ષ્મીની મહેર ક્યારે થાય ? જ્યાં મન-વચન-કાયાથી ચોરીઓ ના થાય ત્યારે ! ટ્રિકો કરે, ભેળસેળ કરે એ સૂક્ષ્મ ચોરી કહેવાય, એ હાર્ડ રૌદ્ર ધ્યાન કહેવાય, એનું ફળ નરકગતિ થાય. આમ મનુષ્યપણાની મહાન સિદ્ધિ વટાવી ખાય ! લક્ષ્મીની ઇચ્છા કરે તો તે વધારે મોડી આવે. લક્ષ્મીની ઇચ્છાય ના કરાય કે તેનો તિરસ્કારેય ના કરાય. મોક્ષે જનારાઓએ તો હક્કની લક્ષ્મીજી લેવાય. ઝૂંટવીને ઠગીને ના લેવાય ! આ કાયદો તોડે તો લક્ષ્મીજીની કૃપા ક્યાંથી રહે ? લક્ષ્મીજીને ધોવાથી કંઈ રાજી રહે ? ફોરેનમાં કોણ એમને ધૂએ છે ? છતાં ત્યાં લોકોને કંઈ લક્ષ્મીજીની ખોટ છે ?! સંપૂજ્ય દાદાશ્રી પોતાનો લક્ષ્મી સાથેનો વ્યવહાર વ્યક્ત કરતાં કહે છે, ‘આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે ‘વડોદરે મામાની પોળને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો ! તમારું જ ઘર છે, પધારજો !!’ એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ ! આવું બધાંથી કહેવાયને લક્ષ્મીજીને ? લક્ષ્મીજીને તરછોડ તે મરાતી હશે ? તરછોડ મારનારા નિઃસ્પૃહી સાધુઓ, મહારાજો કે બાવાઓને કેટલાય અવતારો સુધી લક્ષ્મીજી સ્પર્શે નહીં ! લક્ષ્મીજીને આંતરે તે વિશે દાદાશ્રી કહે છે. મને લક્ષ્મીજી કહે છે, ‘હું તો આ શેઠિયાઓને ત્યાં ખૂબ જ કંટાળી છું, તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ !’ જ્ઞાની સસ્પૃહ-નિઃસ્પૃહ હોય. સામાના આત્મા માટે સસ્પૃહ ને તેના ભૌતિક માટે નિઃસ્પૃહ. નહીં તો એકલો નિઃસ્પૃહી થાય તે લક્ષ્મીને તિરસ્કારે ! લક્ષ્મીજીના કાયદા પાળે, તેને ત્યાં તે ખૂટે નહીં કદી. ખોટા રસ્તાની લક્ષ્મી ના લેવાય. અને સહજ પ્રયત્ને પમાય તે જ લેવાય. આવતાં લક્ષ્મીજીને ઠુકરાવાય નહીં. કોઈના ઉછીના પૈસા લીધા હોય તો તે આપી દેવાના ને અપાયા ના હોય ત્યાં સુધી ક્યારે ચૂકવી દેવાય એવા ભાવ કરવાના ! કાળા બજારનો પૈસો પૂરની જેમ આવે, ત્યારે ઘર બેઠાં પાણી આવ્યુંનો આનંદ માણે ! પણ પૂરને ઓસરતાંય વાર નહીં ને એ ઓસરે ત્યારે ઘરમાં કાદવ કાદવ કરતું જાય ! ને રોગચાળો થઈ જાય તે વધારામાં ! લક્ષ્મી એ તો બાય પ્રોડક્શન છે જીવનનું ! મેઈન પ્રોડક્શન તો મોક્ષ મેળવવો તે છે. બાય પ્રોડક્શન તો સહેજે મફતમાં જ મળે. પાગલ બનીને પૈસો ભેગો કરે ને આખો દહાડો ગણ ગણ કરે ! તે ગણનારા તો ચાલ્યા ગયા ને પૈસા રહ્યા અહીંના અહીં ! પૈસાનો કુદરતી કાયદો શું કહે છે ? અગિયાર વરસે પૈસો બદલાય ! પચીસ કરોડવાળાની પાસે અગિયાર વરસે એક આનોય ના આવે તો એ ખલાસ થઈ જાય ! અનાજ ત્રીજે વરસે નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં. દવાઓ પણ બે વરસ પછી ‘એક્સપાયર’ થઈ જાય, તેમ આ લક્ષ્મીની પણ અગિયાર વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય છે. હિન્દુસ્તાનમાં બસો વરસ પહેલાંના વેપારી વાણિયા નાદારીથી બચવા પૈસાની સુંદર ગોઠવણી કરતાં લાખ રૂપિયા હોય તો પચીસ હજાર મિલકતમાં, પચીસ હજાર સોનામાં, પચીસ હજાર શરાફને ત્યાં વ્યાજે મૂકવામાં ને પચીસ હજાર વેપારમાં નાખે. જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે ! પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી તો આવે ને તરત જવા માંડે. પહેલાંની લક્ષ્મી તો પાંચ પેઢી ટકે ! પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય તો દાદા પાસે આવવા દે ને સારા માર્ગે ખર્ચ કરાવડાવે ! (૨) લક્ષ્મી સંગે સંકળાયેલો વ્યવહારછોકરાં માટે મૂકી જવા પૈસા ભેગા કરે તો પાછલી પેઢી માટે મોકલવા શું કર્યું ? બાપા, દાદા, વડદાદા માટે કશું મોકલ્યું ? મોટાં મોટાં મકાનો, બબ્બે લાખનાં આલીશાન જાજરૂ બનાવ્યાં, તે વૈરાગ્ય આવવાનું એક જ સ્થાન હતું તેય ઉડાડી દીધું ! તે આ બધું જોડે લઈ જવાય ? જગત ઉઘાડી આંખે ઊંઘે છે, એટલે કે પોતાના હિતાહિતનું બેભાનપણું ! જે મનના, વાણીના કે દેહના માલિક ન રહ્યા હોય, તો તે પૈસાના માલિક ક્યાંથી રહે ? ઘરમાં હીરાબાને ને ધંધામાં ભાગીદારને જ સમગ્ર વહીવટ સોંપીને વીતરાગ વાટે વહ્યા ગયા એવા એ દાદાશ્રી ! પાપાનુબંધી પુણ્ય એટલે પાછલા પુણ્યના આધારે અત્યારે પૈસો પુષ્કળ આવે પણ અણહક્કનું ભોગવી લેવામાં રાતદહાડો વ્યસ્ત હોય તેથી નવો બંધ પાપનો બાંધે છે ! કમાય કોણ ? આપવાનું જેનું મોટું મન હોય તે ! બુદ્ધિશાળીને લક્ષ્મી મળે તેવું નથી, પુણ્યશાળીને લક્ષ્મી મળે. મુંબઈમાં મોટા મોટા શેઠના મહેતાજી બહુ બુદ્ધિશાળી હોય. પૈસો વધે તેમ તેને સાચવવો બહુ અઘરો ! દાદાશ્રી બહુ દયાળુ, તે ઉઘરાણી કરવા જાય તે પેલાને ભીડમાં જુએ તો તેને ઉપરથી બીજા પૈસા આપીને આવે, પોતાની પાસે જેટલા હોય તેટલા બધાય ! પૈસો પરવારી જાય ત્યારે પુરુષાર્થ શો કરવો ? સગો ભાઈ પૈસા ઘાલી જાય, નોકર ઘાલી જાય, ધંધો બંધ થઈ જાય ત્યારે શો પુરુષાર્થ ઘટે ? જીવનમાં એવે ટાણે શાંતિ શીદને રાખવી ? તમે ક્યારેય કોઈનો અહંકાર ખરીદ્યો ? એ કાંઈ માર્કેટમાં વેચાતો મળતો હશે ? અરે, એ તો ઘેર બેઠાં મળે ! જે આપણી પાસે પૈસા માગવા આવે, તે આપણને તેનો અહંકાર ખરીદવાની તક આપે ! અને અહંકાર ખરીદે એટલે એની બધી શક્તિઓ પ્રગટે આપણામાં ! સંપૂજ્ય દાદાશ્રીએ આખી જિંદગી આ જ કરેલું ત્યારે આ પદ પ્રગટ્યું ! કોઈ પૈસા માગવા આપણી પાસે આવે ને આપણી પાસે પૈસા હોય તો તેને પૈસા આપીને તેનો અહંકાર ખરીદી લો ! કેટલી લાચારી હોય ત્યારે પૈસા મંગાય ? આવી તક ક્યારેય ગુમાવાય નહીં, એનો અહંકાર ખરીદવાથી એની બધી શક્તિઓ આપણામાં પ્રગટ થાય ! હૃષ્ટપુષ્ટ ભિખારી ભીખ માંગે ત્યાં શું કરવું ? એને દાન ના આપો તો વાંધો નહીં પણ એને મહેણાં-ટોણાં કે એને દુઃખ થાય એવું બોલાતું હશે ? ક્યારેક કોઈના અવળા સંજોગો ના આવે ? મોટા બંગલા, નોકર-ચાકર વગેરે ભૌતિક સુખો વધે તેમ આત્માનું વિટામિન ઘટે ને દુઃખો એ આત્માનું વિટામિન છે ! જ્યારે લોક આત્માના વિટામિનને કાઢવા ફરે છે ! સોનામાં પા ભાગની મૂડી ઈન્વેસ્ટ કરવી તેય લગડીઓમાં એ સ્થાવર જંગમ કહેવાય. તરત રોકડા થઈ શકે જરૂર હોય ત્યારે ! શેરબજારમાં તો જવું જ ના જોઈએ. એમાં તો પાંચ-સાત ખેલાડીઓ રમત રમે ને વચ્ચેનાં ચકલાં બફાઈ મરે ! પૈસાનું અપાર સુખ હોય તો બીજે ધણીનું, બૈરીનું કે છોકરાંનું પાર વગરનું ક્યાંક તો દુઃખ હોય ! પરદેશમાં સારું કમાયા હોય તેવાઓ સ્વદેશ આવવા શું ગોઠવણી કરે ? અહીં ધંધો કરવો હોય તો મૂડી રોકવા પૂરતા તો પૈસા હોવા જોઈએ. બેંકમાંથી બાકીનું લેવું પડે તેનો વાંધો નહીં પણ લોકો પાસેથી મળે તે બને નહીં અહીં. બાકી, કંઈ ભડકવાની જરૂર નથી, આજે ને આજે સ્વદેશ પાછા ફરવા માટે ! કેટલાક બહુ લોભી હોય. આ કીડીઓ-કાગડાઓય લોભી હોય, એય મોંમાં ઉપાડી એક જગ્યાએ ઢગલો કરે ! એક જણે અમેરિકામાં દાદાજીને પૂછયું, ‘આ શેરમાં કામકાજ મારે કરવું કે નહીં ?’ ત્યારે તેમણે ઉત્તર આપ્યો, ‘બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું, એનું નાણું ખેંચી લો. નહીં તો અમેરિકા આવ્યા તે ન આવ્યા જેવું થઈ જશે !’ વ્યાજ તો મુસલમાનેય ના લે. બેંકમાં વ્યાજે મૂકો તેનો વાંધો નહીં, પણ દોઢ ટકો - બે ટકાની લાયમાં પડે, એનું કંઈ કહેવાય નહીં ! વ્યાજખાઉ થયા પછી મોક્ષ તો મળે જ નહીં ! અંગત ધીરવું નહીં, નહીં તો માણસનું મન ખાટકી થઈ જાય, ક્રુઅલ (નિર્દયી) થઈ જાય ! કોઈને ઉછીના આપ્યા હોય તો તેનું વ્યાજ લેવું બેંક રેટનું, તેનો વાંધો નહીં. વ્યાજ-વટાવનો ધંધો ખોટો અને એ પૈસા પાછા આપી શકે તેમ ન હોય તો મૌન રહેવું. દરિયામાં પૈસા પડી જાય તો શું કરીએ ? જંતુનાશક દવાના, કરિયાણાના ધંધામાં કે ગમે તે હિંસક ધંધામાં પોતાની જ મહીં જીવો મરે છે ને મહીં ભયંકર જડતા લાવે ! જાગૃતિ જ બંધ થઈ જાય ! વકીલો ને ડૉક્ટરો પૈસા માટે જે કંઈ અવળું કરે તેના માટે તો શું બોલાય ? બધામાં જોખમદારી પોતાની જ છે ! તેનાં ફળ ભોગવ્યા વગર છૂટકો જ નથી ! બુદ્ધિથી હિંસા તો હળાહળ કળિયુગમાં જ કપડું ખેંચીને આપે ! પાછી બુદ્ધિ વકીલાત કરે કે બધાં કરે છે તેમ હુંય કરું છું !’ ઈન્કમટેક્સ-સેલ્સટેક્સની ચોરીઓ કરે કળા કરીને ! તે ઊલટો લોભ ના વધાર્યો ? આ તો લોભ ઓછો કરી આપવા માટે છે ! ભગવાનની ભક્તિ કરનારને દુઃખ હોતું હશે ? ઊલટું, પાર વગરનું સુખ હોય ! બીજાને પોતાની વસ્તુ ખવડાવવાથી, લોકોની સેવા કરવાથી માનસિક શાંતિ અપાર વર્તે તેનો અનુભવ કર્યો છે ? દાદાના મહાત્માઓને પૈસાનો વ્યવહાર તો કરવો પડશે, પણ મનમાં સો ટકા એવું રાખવાનું કે ‘નથી કરવા જેવું છતાંય કરવો પડે છે. એના શોખીન ના થવાય.’ શાકવાળી જોડે કચકચ કરાય ? આઠ આના-રૂપિયો વધારે આપી પતાવી દેવાનું ! માંગતાવાળા જોડે ય ઓછું-વત્તું પતાવી દેવાનું. સમ્યક્ દ્રષ્ટિવાળો ગમે તેમ કરીને ખોટ ખાઈને પણ નિવેડો લાવે. પૈસા રાખવાનો વાંધો કે મમતા રાખવાનો વાંધો ? પુણ્ય શું ના કરે ? જન્મથી જ મોટર-બંગલા, ગાડીઓની રેલમછેલ દેખાડે ! પોતાના જ પુણ્યથી પરણતી છોડીઓને માટે બાપથી કેમ કરીને કહેવાય કે મેં કેટલી ધામધૂમથી પરણાવી ? બાપ તો માત્ર ઘરનો વહીવટકર્તા છે, બાકી તો વાપરે છે ઘરમાં સહુ સહુના પુણ્યનું ! પૈસા ઉછીના લેતી વખતે જેને દ્રઢ નિશ્ચય વર્તે છે કે મારે પાછા આપી જ દેવાના છે, તેનો વ્યવહાર કંઈ ઓર જ દેખાય! દાદાશ્રી કહે છે, ‘પેલો મને ઊલટો કહે કે ‘હું તો હવે તમને આપવાનો જ નથી.’ એટલે હું કશું એવું ના બોલું કે ના આપીશ. હું સમજી જાઉં કે આ જ કાયદો !’ મરણની કમાણી કોઈ કરે ? છતાં હેય.... નિરાંતે સૂતાં સૂતાં જવાનું થાય છે ને ! ચાર જણ ઉપાડે ચાર નાળિયેર સાથે, તેય પાણી વગરનાં, હં કે ! ગમે તેટલું કમાયા હોય પણ મરતી વખતે સરવૈયું આવશે, માટે ચેતીને ચાલો ! બે ફૂટ પહોળી પાળી વગરની પટ્ટી પરથી દરિયો પાર કરવાનો હોય, પચાસ માઈલનો તો ત્યારે એને કશું યાદ આવે ? દુકાન કે દવાખાનામાં સૂતેલી બૈરી કે છોડી પૈણાવાની ? કશું યાદ ન આવે. ધંધાના વિચાર ક્યાં સુધી ઘટે ? વિચારો આમળે ના ચઢે ત્યાં સુધી. એથી આગળ જાય તો મર્યા જાણજો, બંધ જ કરી દેજો ! નહીં તો બે પગમાંથી ચાર પગમાં જવાનો વારો આવશે ! તેથી કબીરસાહેબ ચેતવે છે, ‘ઊંચા ચઢ પુકારીયા, બુમ્મત મારી બહોત, ચેતનહારા ચેતજો, સિરપે આઈ મોત.’ (૩) ધંધો, સમ્યક્ સમજણેજીવન જીવવાનું શેના અર્થે ? કાં તો મોક્ષાર્થે કાં તો લક્ષ્યાર્થે. મોક્ષાર્થ એ જ ભારતીયનું જીવન લક્ષ ઘટે. અને તે માટે આત્મજ્ઞાન જાણો ! પ્રામાણિકતાભર્યું જીવન જીવે ત્યાં વસે પ્રભુ સદા ! ત્રણ વસ્તુમાં સમાય સમગ્ર વ્યવહાર ધર્મ : (૧) નીતિમત્તા (૨) ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) (૩) એનો બદલોય લેવાની ઈચ્છા નહીં તે ! ભગવાન પાસે ઇચ્છા કરાય ? એનું નામ લેવાથી આવરણ ખસે ને આનંદ થાય ! એથી બીજું કશું વિશેષ ત્યાંથી ના મળે ! પ્રામાણિકપણું હોય ત્યાં પાછું મનુષ્યપણું પામશે. જ્યાં અણહક્કનો વિષય-લક્ષ્મી ભોગવવાની દાનત છે તેને તો તે ભોગવવા પશુમાં જ જવું પડે. પછી ભલે ને ગમે તેટલી તે ભક્તિ કરતો હોય કે દાન-પુણ્ય કરતો હોય ! પ્રામાણિકતા, નૈતિકતા ને ઑબ્લાઈઝિંગ નેચર - આ ત્રણ ગુણ હોય, તેના બીજા બધા દુર્ગુણો અવશ્ય જાય. નીતિ ત્યાં પ્રભુનો વાસ, ને જ્યાં વસે પ્રભુ ત્યાં સુખધામ. પ્રામાણિકને મળે પરવાનો પ્રભુનો ! ‘ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી’ના સૂત્રને લોકો ખાઈ બદ્યા ! તેથી દાદાશ્રીએ નવું સૂત્ર જગતને આપ્યું ‘ડિસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ !’ ઈશ્વર કોઈને કશું આપતો-કરતો નથી. હા, એને યાદ કરવાથી આનંદ થાય, જેમ કેરી યાદ કરતાં મોઢામાં પાણી આવે છે ને ? અને ઈશ્વર એ તો પોતાનું જ સ્વરૂપ છે તેથી તેનો સ્વાભાવિક આનંદ આવ્યા જ કરે ! સત્યનિષ્ઠા ત્યાં ઐશ્ચર્ય પ્રગટે ને તેને બધું ઘરે બેઠાં આવી મળે ! આમાં ઈશ્વર કાંઈ કરતો નથી ! લાંચ આપવી કે ના આપવી ? છેક સુધી ખેંચવું પણ તૂટી જાય, ગાળો ખાવી પડે ત્યાં સુધી પહોંચે તો પકડ છોડી દેવી ને લાંચ આપીનેય છૂટી જવું ! બહારવટિયા રસ્તામાં પૈસા માંગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર ના આપો ? ત્યાં કેમ આપો છો ? આ લાંચવાળા શું તમને બીજા પ્રકારના આધુનિક સુધરેલા બહારવટિયા નથી લાગતા ? પેલા પિસ્તોલ બતાવે ને આ ભડક બતાવે ધંધો બગાડવાની ! પથ્થર નીચે હાથ આવે તો કળથી તેને કાઢજો નહીં તો પથ્થરના બાપનું શું જવાનું છે ? સત્યનાં પૂંછડાં તો બધાં જ પકડાવે પણ આવું કોણ શીખવાડે જ્ઞાની સિવાય ? આ જગતનું સત્ય સાપેક્ષ સત્ય કહી દીધું એમણે ! હા, એમાં કોઈને હિંસા, દુઃખ કે હેરાનગતિ ન થવી જોઈએ. દાદાશ્રી કહે છે કે આમ કરતાં જે કાંઈ પણ જવાબદારી આવે તો તે દાદાની ! આ દાદા દરેક ભૂમિકામાંથી પાસ થયેલા ને તેની આ અનુભવ વાણી નીકળે છે ! દાદાશ્રી જ્ઞાનીપદ પામ્યા, મોટા ધંધામાં સંકળાયેલા હોવા છતાં પણ ! અને તે બન્ને સાથે કેમ ના થાય ? તમે જુદા છો ને ધંધો જુદો છે ! ધંધો ચાલે પણ તેમાં પોતાનો ઉપયોગ હોય તો ને ? દાન દેતી વખતે મન જુદું રાખે કે ના રાખે ? તેવું આ સંસારમાં બધું જુદું જ રહે ! ડ્રામેટિક રીતે ધંધો દાદાશ્રીએ કરેલો. પૈસા કમાવામાં પહેલેથી જ વૃત્તિઓ વેડફાઈ જ નહીં ને આત્માની શોધખોળમાં જ વૃત્તિઓની પ્રવૃત્તિઓ રહી સદા ! અનંત અવતારથી ધંધા જ કર્યા પણ ક્યારેય આત્માનું થયું ? ચિંતા ધંધામાં થવા માંડી ત્યાંથી જ સમજો કે હવે કાર્ય બગડવાનું બધું. ઘરની પ્રત્યેક વ્યક્તિ ધંધામાં ભાગીદાર કહેવાય છતાં બાપ એકલો જ ચિંતા કરતો હોય છે ને ? બધાં ના કહે તોય ? પૈસો પુરુષાર્થથી પ્રાપ્ત થાય ? પુરુષાર્થથી પામનારાઓને તો ક્યારેય ખોટ જાય કે ? અને ખોટ જાય તે દુકાનને કે પોતાને ? દુકાન તો જતાં જતાંય પાઘડી આપતી જશે ને પોતે જશે ત્યારે ? બજારમાં બધા દુકાનો ખોલે ત્યારે આપણે ખોલવી ને બધા બંધ કરે ત્યારે બંધ કરવી. એનું નામ નોર્માલિટી ! ધંધા માટે વિચાર અડધો કલાકથી વધારે થાય ને એથી આગળ ગયો, તે મર્યો. ઘરાકની તે રાહ જોવાતી હશે ? ના આવે ત્યાં સુધી લો ભગવાનનું નામ ને કરો આત્મકલ્યાણ ! ધંધામાંય સત્ય, હિત, મિત ને પ્રિય વ્યવહાર ઘરાક સાથે ઘટે. પ્રામાણિકતાથી વેપાર કરવો, પછી એનો હિસાબ ના મંડાય. કમાવામાં ખટપટ કે હાયવોય તે કરાય ? હિસાબથી એની મેળે આવે. પૈસા આવ્યા કે ‘હાશ’ થાય છે ને ? અને તે જાય ત્યારે ? જેટલી ‘હાશ’ તેટલી જ ‘નિરાશા’. ધંધો કરતાં પહેલાં નફો ધારી લે ને સંજોગવશાત ઓછો નફો થયો તો ખોટ ગઈ માની ને ચિંતાએ ચઢે ! દાદાશ્રી તો પાંચ લાખ નફો થવાનો હોય ત્યાં લાખ થશે એમ કરી શરૂ કરે ને એથી વધારે આવે તેટલો વધુ નફો ! ધંધામાં ખોટ તો તેને ઘરના દસ જણ વચ્ચે વહેંચી નાખવી, તો ઉપાધિ નહીં લાગે ! ઘરના તબિયતે સારા આજે હોય તે જ નફો ! નફો કે ખોટ રાતેય જાય ને ? રાત્રે કંઈ મહેનત કરો છો ? એ બધું વ્યવસ્થિતના તાબામાં. ધંધામાં મંદી ત્યારે કરો સત્સંગમાં તેજી ! તમારી બે આંખની કિંમત કેટલી ? બે કાનની કિંમત કેટલી ? તમારી પાસે કેટલી બધી મિલકત છે પછી શેના લૂંટાયા તમે ? જેટલી લક્ષ્મી તમને સ્પર્શે તે સ્પર્શના નિયમને આધીન જ છે, ગપ્પું નથી. ધંધાની નોર્માલિટી શું ? ખાતી-પીતી વખતે ચિત્ત ધંધામાં ના જાય ને રાત્રે નિરાંતે ઊંઘ આવે તે. આયુષ્યનું એક્સટેન્શન બસો વર્ષનું મળતું હોય તો ચાર શિફટ ચલાવો ? દાદાશ્રી એમના ધંધાની વાત કરતાં કહે છે કે અમારા પર લાગણીવાળા ધંધાના સમાચાર પૂછે તો તેને કહીએ પચાસેક હજારની ખોટ ગઈ છે, બહુ નથી એટલે એને શાંતિ રહે અને દ્વેષભાવવાળા પૂછે તો કહે કે પાંચ લાખની ખોટ ગઈ એટલે એને મજા પડે ને સારી ઊંઘ આવે. કોઈને દુઃખી ના કરે ! દાદાશ્રી તેમના એક કોન્ટ્રેક્ટના કામનો અનુભવ કહેતાં કહે છે કે, અમે જેને ચોકીદાર તરીકે રાખીએ એ જ માણસ ચોરીઓ કરાવતો. બીજો રાખ્યો તોય તેનું તે જ ! એટલે એ સમજી ગયા કે આ ચોરીઓનો હિસાબ ચૂકવવાનો થયો. તે દર અઠવાડિયે પોલીસ બોલાવે. એ બધાને દબડાવે ને બીજે દહાડેથી પાછી ચોરીઓ શરૂ... ને નાટક પૂરું થાય ! દાદાશ્રી કહે છે કે અમે ૧૯૫૧ પછી ધંધામાં ચોરીઓ કરવાનું બંધ કર્યું ! શાહુકાર થઈને આપણને ચોરી શોભે ? આના કરતાં ચોર સારા ! ભેળસેળ કરનાર આ ચોર કરતાં વધુ ગુનેગાર ગણાય, કુદરતની કોર્ટમાં ! કાળાબજારનું નાણું દાદાશ્રીના ધંધામાંય પેસી ગયેલું, જે ગયું ત્યારે રોમરોમ કરડીને ગયું ત્યારે હાશ વળી ! પૈસા ગયા, કંઈ આપણે ઓછા ગયા છીએ ?! ધંધો કયો સારો ? જેમાં હિંસા ના થતી હોય તે ! પહેલો નંબર હીરા-માણેક, પછી સોના-ચાંદીનો, એ ચોખ્ખો ધંધો. ખરાબમાં ખરાબ કસાઈનો ધંધો, પછી કુંભારનો, કરિયાણામાં પણ પાર વગરની હિંસા ને ભેળસેળ ! વજનમાં જીવડાનાય પૈસા ગણી લે ! હિંસક ધંધાવાળા સુખી ના દેખાય, મોં પર તેજ ના દેખાય ને આખો દહાડો તરફડાટ, તરફડાટ....... અંતે તો બધું વ્યવસ્થિત જને ? ધંધામાં ખોટું કરો છો ? એ બંધ કરી પછી જુઓ પરિસ્થિતિ તમારી ! ચોખ્ખે-ચોખ્ખું કહીને માલ વેચો કે મારું કમિશન આટલું લઈને વેચું છું. કોક ઘરાક તો લેનાર મળશે ને ? પણ ધીમે ધીમે સાચા વેપારીની તમારી છાપ માર્કેટમાં પડશે ને લોક સામે ચાલીને તમારી પાસે જ આવશે ! ધંધામાં ચાલાકી કરે તેનેય તેટલો નફો ને ના કરે તેનેય તેટલો જ નફો ! ચાલાકીનું કર્મ બાંધે તે વધારાનો નફો !(?) કોઈ આપણી સામે ચાલાકી કરે ત્યારે આપણેય કરીએ તો એ રોગ પેઠો આપણામાં ? કપટ ને ચાલાકીમાં ફેર. કપટની કોઈનેય ખબર ના પડે. કરનારનેય. ચાલાકીની બધાને ખબર પડી જાય, પોતાનેય ખબર પડે. ‘વ્યવસ્થિત’નું જ્ઞાન ત્યાં ચાલાકીને ક્યાં સ્થાન ? સવારે ડોલ પાણીની નાહવા મળશે કે નહીં એવો વિચાર આવે છે ? રાત્રે સૂવા ગોદડું મળશે કે નહીં એવો વિચાર થાય છે ? એમ આ પૈસાનુંય છે. વગર વિચારે આવી મળે તેમ છે છતાં લોક આખો દા’ડો પૈસો, પૈસો, પૈસો કર્યા કરે છે ! પૈસા કમાવાની ભાવના કરવી એટલે પૈસા પોતે ખેંચી લે એટલે સામાને ભાગ ના આવે ! એટલે કુદરતી કવોટા આપણે માટે છે તેમાં વત્તુંઓછું કરવાની કંઈ જરૂર ? આટલું જ સમજે તો ઘણાં પાપ અટકે ! પ્રયત્ન કર્યે જાવ પણ કમાવાના ભાવ ના કરો. એને રૌદ્રધ્યાન કહ્યું ભગવાને ! માટે ભાવ ફેરવો. ધંધામાં હરીફાઈના વિચારો આવે પણ તેમાં કશું વળે છે ? હરીફાઈ તો ત્યાં સુધી જઈ અટકે કે સગો બાપ પોતાનાં છોકરાંને આગળ વધતાં અટકાવી પછાડે ! તેથી દાદાશ્રીએ કુટુંબીઓને કહેલું કે તમે બધા અમારાથી આગળ વધો ને શીંગડા લઈને પણ મારવા આવો. મારી પાસેથી શીખો. ધંધો વધારવો કે નહીં ? સહેજાસહેજ બને તે જોવું. વિચારો કર કર કરીને કરવાનું નહીં. એ લોભમાં જાય. ચંદુભાઈ (ફાઈલ નં.૧) શા પ્રયત્નો કરે છે તે આપણે જોયા કરવાનું. શેઠે માણસો સાથે શી રીતે કામ લેવું ? વઢીને ? શેઠ એટલે જે ક્યારેય વઢે નહીં તે ! ને વઢે તે ડફોળ ! વચ્ચે એવી એજન્સીઓથી કામ લેવું કે જે નોકરોને વઢે ને પછી શેઠ બન્નોની વચ્ચે પડી સમાધાન લાવે ! મંદીમાં શેઠિયાઓ મજૂરોને ચૂસે ને તેજીમાં મજૂરો શેઠિયાઓને તેજી-મંદીમાં સમાનપૂર્વક રહેનારું કોઈ નામ ના દે તેવો ન્યાય છે જગતનો ! લક્ષ્મી પુણ્યની પ્રસાદી છે નહીં કે મહેનતની ! જે ધંધાથી ઘા પડ્યો તે જ ધંધાથી તે રુઝાય ! શેરબજારની ખોટ કરિયાણાની દુકાનથી ના પુરાય ! ખેલ ખેલો પણ ખેલાડી ના થશો ! ખેલાડી થયા તે થયા ખલાસ ! દાનત શાથી બગડે છે ? ગતજ્ઞાનના આધારે અને આજનું સવળું જ્ઞાન મળે ને પ્રતિક્રમણ કરી ફેરવે તો આગળ ઉપર સવળું થઈ શકે ! દાનત બગડી તે થવાનો દુઃખી. દાનત ન બગડી તે થવાનો સુખી. જેની દાનત દેવું ચૂકવવાની છે તે ચૂકવે જ ! દેવા સાથે મરે પણ ઠેઠ સુધી ભાવ ચૂકવવાનો જ રહે તે મુક્ત જ કહેવાય ! બાકી બે-પાંચ વર્ષ પછી તો અંધકાર જ છે નર્યો. મોટી મોટી પાર્ટીઓ ઊઠી જશે ! માટે જે નીતિ, પ્રામાણિકતાથી જીવે છે. દાદા ભગવાનનું નામ લે છે તેને તે ઊખડવા નહીં દે કુદરત ! તેમને નિર્ભય રહેવાનું ! ખોટું થાય ને મહીં ડંખ્યા કરે એ ‘મહાત્મા’. ખોટું કરે ને રાજી થાય એ ‘પેલા’ બધા ! માગતાવાળા ગાળો દે તે ‘એકસ્ટ્રા આઈટમ’ ગણાય કરાર કરતી વખતે ગાળોનો કરાર હતો કાંઈ ? જ્ઞાનપૂર્વની દાદાશ્રીની ભૂમિકા કેવી હતી ? ભૂમિકામાં કશું આવડતું ન હતું તે મેટ્રિકમાં નાપાસ ! ચારિત્રબળ ઊંચામાં ઊંચું ! બાકી નાનપણમાં ચોરીઓ કરેલી, પારકા ખેતરમાંથી બોર, કેરીઓ ચોરીને ખાધેલી પણ ક્યારેય ઘેર લઈ ગયેલા નહીં. પોતાના ધંધાસંબંધી ક્યારેય વિચાર નહીં કરેલો. કોઈ મળવા આવે ત્યારે તેની જ અડચણો પૂછી મદદ કરેલી, કારણ કોઈનું દુઃખ એ દેખી ના શકે ! લોકોને માન ખાવા સલાહ આપતા. ઈન્કમટેક્સ, સેલટેક્સ કે બીજામાંથી છટકબારી દેખાડતા ! દાદાશ્રીના ભાગીદાર છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે, મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડોય. ભાગીદાર જોડે ચાલીસ વરસ ધંધો કર્યો પણ ક્યારેય મતભેદ નથી પડ્યો. તેનું રહસ્ય શું ? દાદાશ્રીએ નક્કી કરેલું કે પોતે નોનમેટ્રિકને પગાર કેટલો મળે ? તેટલા જ રૂપિયા ઘેર મોકલવા. બાકીના બધા ધંધામાં ક્યારેક ખોટ આવે કે ખર્ચા આવે કે છોકરા, છોકરીઓ પરણાવવાનાં થાય ત્યારે તેમાંથી વાપરવાના ! એમને પોતાને તો છોકરા હતા જ નહીં ! ભાગીદારની છોડીઓ ને છોકરાઓ ભાગીદારીમાં જ પરણાવ્યાં ! બોલો આવા ભાગીદાર દુનિયામાં મળે કોઈને ? જન્મથી જ લોભ નહીં ! ધંધામાં ક્રિમિનલ કેસ દાદાશ્રી પર થયેલો ને નિર્દોષ છૂટી ગયેલા ! પણ વીતરાગતાનો દાખલો દેખાડી દીધો ! લેણું વસૂલ કરવું કે પાછલો હિસાબ કરીને છોડી દેવું ? વિનય વિવેકપૂર્વક માંગણી કરવી. તેમ છતાંય ના આપે, ભીડના લીધે તો, આપણો હિસાબ ચૂકતે થયો એમ સમજી લેવું ! દાદાશ્રીએ પાંચસો પાછા માંગ્યા ત્યારે પેલો ઊલટો ચોંટ્યો, ‘શેના પાંચસો ?’ તમને મેં પાંચસો ધીરેલા તે તમે ભૂલી ગયા છો ? તે તરત દાદાશ્રીએ એને પાંચસો ઉપરથી ચૂકવી દીધા !!! મનમાં સમજીને કે પાંચસોમાં પત્યું. લાખ માગ્યા હોત તો આવા માણસને ક્યાંથી પહોંચી વળાય ? ફરી કોઈ અવતારમાં હવે એની જોડે પ્રસંગ ના પડે તેથી આપી દીધા ! કોઈને પૈસા આપ્યા તો કાળી ચીંથરી બાંધીને દરિયામાં નાખ્યા એમ સમજીને આપવા. પછી પાછા આવવાની આશાની મૂર્ખાઈ જ ના થાય ને ? પૈસાનો આપવા-લેવાનો વ્યવહાર કાયમનો બંધ કરવા દાદાશ્રીએ રસ્તો કાઢ્યો કે ઉઘરાણી માંગવી જ નહીં ! એટલે ફરી માંગવા આવે જ નહીં ! પછી બધો પૈસાનો વ્યવહાર સોંપી દીધો હીરાબાને ! જગતવ્યવહાર હિસાબી છે ! ફોર્ટમાં પડી ગયેલું ઘડિયાળ ઘેર આવીને આપી જાય એવું પણ બને ! વળી જે બન્યું તે જ ન્યાય ! બીજો ન્યાય તે વળી ખોળાતો હશે ? ઉઘરાણી કરી ને ન મળ્યું તે જ ન્યાય ને ન્યાય ખોળે તે બુદ્ધિ ! આપણે ઉઘરાણી કર્યા કરવી. હસતાં-હસતાં, ટોળટપ્પાં કરતાં નાટકની જેમ ! જગત સપડાયું નથી મહારાણીથી. પણ સપડાયું છે ઉઘરાણીથી ! દાદાશ્રી ઉઘરાણી કરવા જાય ને ત્યાં ઢીલા જુએ તે ઉપરથી બીજા આપીને આવે ! ધરમ કરતાં ધાડના અનુભવો દાદાશ્રીને ધંધામાં અનેક વાર થયેલા. કોઈને માલ મૂકવા જગ્યા આપી તે માલ નીકળ્યો ચોરીનો ? સહજ પ્રયત્ને ઉધરાણી કરાય. ઉઘરાણી કરતા પરિણામ મહીં ના બદલાય તો ઘેર બેઠાં આવી મળે ! એવું આ સાયન્સ છે ! ઉઘરાણીમાં પૈસા ના મળતા હોય તો તેની પાછળ ના પડાય. નહીં તો એ ભૂત થઈને વેર વાળશે ! ડાહ્યો માણસ કોર્ટમાં ના જાય. વકીલોની ચુંગાલ કાંઈ જેવી તેવી હોય છે ?! વખતે કોઈ પૈસા પરત ના કરે તેથી કંઈ કુદરતી કોર્ટમાંથી છૂટી શકે ? કુદરતનું વ્યાજ બસો-ત્રણસો વરસે ચૂકવવું પડે ! ખાવાની વસ્તુમાં, દવામાં ભેળસેળ એના જેવો ભયંકર ગુનો અન્ય કોઈ નથી ! જેટલું અણહક્કનું લેશો તેટલી અશાંતિ ભોગવશો. ધંધામાં નીતિ તો પાયામાં જોઈશે ! દાદાશ્રીએ જગતને, આ કાળને અનુરૂપ નવું સૂત્ર ગેરન્ટીપૂર્વક આપ્યું. સંપૂર્ણ નીતિ પાળ ! તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. અને તેમ ના થાય તો અનીતિ કરે તોય નિયમમાં રહીને કર. નિયમ જ તને મોક્ષે લઈ જશે ! (જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીને.) અગ્નિ પાસે ઘી મૂકે ને ઘી ના ઓગળે એવું બન્યું આ તો ! ખૂબ ઊંડાણથી વિચારે તો જ કો’ક વિરલ ને વિચક્ષણને જ આ સૂત્ર સમજાય તેમ છે ! અક્રમ વિજ્ઞાન તો નીતિ-અનીતિ બન્નેને બાજુએ મૂકી દે છે, નિકાલી કરીને ! બન્નેનાં બીજને શેકી નાખે છે, જેથી એ ફરી ઊગે જ નહીં ! અક્રમ વિજ્ઞાન ભ્રાંતદશાવાળાને શું શીખવે છે ? દ્રવ્ય કોઈનાય તાબામાં નથી, એ ઈફેક્ટ છે. આ ફક્ત ભાવ જ એકલો તું કર ! ખોટું થાય તો તું પસ્તાવો કર, પ્રતિક્રમણ કર પછી તારી જવાબદારી નથી રહેતી. અને ભગવાનની દ્રષ્ટિએ ખરું-ખોટું કશું હોતું જ નથી. બધું કરેક્ટ જ છે. ખરું-ખોટું એ કલ્પના છે અને કરેક્ટ ના કરે તો વિકલ્પી થઈ જવાય. નિર્વિકલ્પ ક્યારે થવાય કે બન્યું તે જ કરેક્ટ. સમજમાં જ રહે ત્યારે ! નાણાં કમાવા જોર કરવાનું નથી, બરકત તેમાં કઈ રીતે આવે તે જોવાનું છે. બરકતવિહોણું નાણું ઉપાધિ, હાયવોય હાયવોય ને બળતરા, ચિંતા કરાવે. બરકત વગરનાં નાણાં સારા રસ્તે ખર્ચી નાખો ! દાદાના મહાત્માઓને જમાડવા અતિ ઉત્તમ. કારણ કે તેમને કશાની ઇચ્છા જ નથી રહી ! વધારે નાણું હોય તો ભગવાનનાં કે સીમંધર સ્વામીનાં દેરાસરો જ્યાં બંધાય ત્યાં અપાય તેના જેવું બીજું એકેય સ્થાન નથી. ખુદાઈ બરકતમાં જે આવી ગયો તેને ત્યાં નાણું ક્યારેય ખૂટે નહીં. દાદા ભગવાન પ્રગટ્યા છે ત્યાંથી કૃપા ઊતરે તો ખુદાઈ બરકત છે ! સંસારનું સરવૈયું સાંપડ્યું ? જ્ઞાની પુરુષ સિવાય સરવૈયું કોણ કાઢી આપે ? (૪) મમતા રહિતતાક્યાં સુધી ભેગું કર કર કરવું છે ? જોડે લઈ જવાય છે કશું ? કે પાછળ મૂકીને જવું છે ? આપણા ગયા પછી શું નહીં ચાલે ? ઘાણીના બળદિયાની જેવી જાતે દશા કરીને છેવટે તો પાંજરાપોળમાં જ જવાનું ને ! સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની; ખીંચ લિયા સો રકત બરાબર, ગોરખ બોલે વાણી. આપવાનું શીખ્યો ? અનાદિથી ગ્રહણ જ કર્યું. પુણ્ય ને પાપને આધીન સારા કે ખરાબ સંયોગ ભેગા થાય. લક્ષ્મી શેનાથી ભેગી થાય ? મહેનતથી ? તો મજૂરોને ત્યાં જ હોય અક્કલથી ? શેઠને બદલે મુનીમને ત્યાં હોય. ત્યારે શેનાથી ? પુણ્યથી ! ચેક વટાવવામાં શી મહેનત ? પુણ્ય ભૌતિકમાં વાપર્યું, ધર્મમાં નહીં ! વીતરાગોની વાતો માને, અહિંસા ધર્મ પાળે, તેને લીધે જૈનોને લક્ષ્મી આવ્યા કરે છે ! લક્ષ્મી વધે તેમ સાચવવાની વધે ઉપાધિ ! બેન્કમાં હોય તો સગાંવહાલાં માંગવા ફરી વળે ! બેંકમાં જમા કર્યા પછી ખૂબ નક્કી કરે કે મારે ઉપાડવા જ નથી પણ તે ઊપડ્યા વગર રહે છે ? લક્ષ્મી એટલે ચંચળ ! લક્ષ્મીનો આધાર ક્યારેય ના લેવાય. આધાર તો આત્માનો લેજો ! આ મિલમાલિકો ને કરોડપતિઓ ‘પૈસા નથી’ કરીને ખોટું રડે છે ! પચાસ લાખ બચ્યા તેને ના ગણે ને કરોડ ગયા તેને રડે ! એક જણ કહે કે કારખાનામાં લેબર ટ્રબલ છે તો કારખાનું ગુજરાતમાં શિફ્ટ કરું ? અલ્યા, કાગડા બધે કાળા ને કાળા જ ! તારી માયા આગળ ને આગળ જ હોય ! લેબર ટ્રબલ કાઢ્યા કરતાં તારી જ ટ્રબલ કાઢને ? કોની જોડે કચકચ કરાય ? આ હમાલો જોડે કે રીક્ષાવાળા જોડે ? એ કેટલા માર્ક્સવાળા ? ૩૨ માર્ક્સે ગધેડો ને ૩૩ માર્ક્સે માણસ ! એક માર્ક ગયો દેહમાં બાકી ગુણ રહ્યા ગધેડાના ! એમની જોડે ઝઘડો કરાય ? ચપ્પુ ખોસી દેશે મૂઓ ! ત્યાં તો બે-પાંચ રૂપિયા વધુ આપીનેય ખસી જાવ ! નોકરથી પ્યાલો ફૂટે તો શેઠ કકળાટ કરી મૂકે ! જોડાં જાય મંદિરેથી, તો મોટા શેઠ ચાર દા’ડા સુધી જોડાની કાંણ કરે ! અલ્યા! એકલા જમાઈ મરે ત્યારે જ કાણ કરાય. તે હવે જોડાની હઉ કરવા માંડી ! લાચારી જેવું મહાપાપ બીજું નથી. સર્વસ્વ જાય, પણ લાચારી ના ઘટે ! કોઈને લાચારી કરાવડાવે તેના મહીંલા ભગવાનને ભયંકર અપમાન પહોંચે ! દરિયામાં કોઈ દહાડો પડવું નહીં. ને પડવાનું અનિવાર્ય બને તો પછી ડરવું નહીં. જે ના ડર્યો તેની જોડે ભગવાન રહે ! અને પેઠા પછી નીકળી જાય તેની તો વાત જ જુદી ! દાદાશ્રીની ધંધાની રીત કેવી હતી ? સ્ટીમર દરિયામાં તરતી મૂકતાં પહેલાં પૂજાઓ બધી ભણાવી દે, સત્યનારાયણ ને બીજી બધી, પછી છેલ્લે સ્ટીમરના કાનમાં ફૂંક મારે કે ‘તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી !’ પછી જ્યારે ડૂબે, ત્યારે ઉપાધિ થાય કે ? ખોટે રસ્તેથી પૈસા કમાવાય ? કોઈને દુઃખ દઈને સુખી કેમ થવાય ? સાચે રસ્તે મેળવેલી લક્ષ્મી અંતરશાંતિ આપશે ! જે પારકા માટે કરે તે પોતાનું કરે ! જીવમાત્રમાં આત્મા છે. તે બીજા આત્માનું કરે, તેને પોતાના જ આત્માને પહોંચે છે ! મોક્ષફળ આપે છે ! જે બીજાના દેહ માટે કરે છે તેને અહીં ભૌતિક સુખ મળે છે ! ધંધામાં જૂઠ-કપટથી લાભ થતો હશે ? એ તો લોકસંજ્ઞાથી ઘૂસેલી અવળી સમજણ છે. ૧૦૦ ટકા સારું કરે, તેના પર પ્રભુ રાજી કાં તો સો ટકા ખરાબ કરે તેના પર પ્રભુ રાજી ! મંદીમાં ધંધા માંદા, તેથી ચોરીનો ધંધો ધમધોકાર ! જ્ઞાન ના હોય, તેની કમાણી નીતિવાળી હોવી ઘટે અને જ્ઞાન હોય, તો જેવી કમાણી તેવું ખા ! કારણ કે જેવો હિસાબ બાંધ્યો તેવો ઊકલશે ! એમાં કોઈનું ચાલે નહીં તેમ અક્રમ વિજ્ઞાન કહે છે. તું તારા સ્વભાવ ભાવમાં આવી જા ! ધંધામાં ભાગીદારે ફસાવ્યો, તે કંઈ ગપ્પું હશે ? હિસાબ હોય તે જ બને ! આજે આણે ફસાવ્યો, કાલે શાદી થાય ને બીબી ફસાવે ! આમાં ભૂલ કોની ? ભોગવે તેની ? મહેનતથી નફો થતો હોય, તો ખોટેય મહેનતથી જ આવે ને ? રિફન્ડ આવે ને આનંદ થાય, તેને દંડ પડે તેનું અચૂક દુઃખ થાય જ ! પ્રામાણિકતા એ ભગવાનની આજ્ઞા પાળવી ! કોઈને છેતરો નહીં, નિષ્ઠાથી, પ્રામાણિકતાથી કાર્ય કરજો. નિર્ભયતા વરશે તમને ! સત્ય હમેશાં મોડું પ્રકાશે ! સત્યનિષ્ઠને ધીરજ વરેલી જોઈએ ? નીતિ એ છે વ્યવહારનો સાર ! જ્યાં નીતિ નથી ત્યાં કરોડો રૂપિયા હોવા છતાં પાર વગરની અકળામણ ને ગૂંગળામણ ! આત્મસ્વરૂપીને બધું નિકાલી છે ! નીતિ-અનીતિ પાળવા માંડે તો શુદ્ધાત્મા પદ ખસી જાય. આ પૌદ્ગલિક ગુણો છે ! ત્યાં તો જ્ઞાનીની આજ્ઞા પાળવાની, ‘સમભાવે’ નિકાલ કરો ! એટલા બધા ઓવરડ્રાફટ આ કાળમાં આવેલા છે કે આટલી બધી મૂડી જમે કર કર કરે છે, છતાં દેવું ખૂટતું નથી ! પુણિયા શ્રાવકની આટલી આટલી સામાયિકો કરી, છતાં ઊંચું આવતું નથી ! હવે દુકાન ખાલી કરી કાઢી નાખો ! નવો માલ ભરવો નહીં, માત્ર ખાંડ કે ગોળ એવું ભરવું, નહીં તો ઘરાક જતા રહેશે ! ઉઘરાણીવાળા કે થાપણવાળા જોડે ઉકેલ લાવી નાખવો ! ઓઈલ પેઈન્ટ પર પાણી પડે પણ ચોંટે નહીં તેમ રૂપિયાનું હોવું જોઈએ ! સંગ્રહ કરવાનો વાંધો નહીં પણ તે યાદ ના રહેવું જોઈએ ! જંક્શન પર આપણી ગાડીનો સમય સાચવવો, નહીં તો બધી ગાડીઓ લેટ થઈ જાય ! ધંધા પર બધું સાચવતાંય દાદાએ આપેલો આત્મા જતો નથી રહેતો ! એ અક્રમ વિજ્ઞાનની અજાયબી તો જુઓ ! સત્સંગમાં રોજ પાંચ-દસ મિનિટેય હાજરી આપવી, ‘અમે’ હાજર હોઈએ ત્યારે ! દાદાઈ બ્લેન્ક ચેક એવો છે કે જે ભરો તે મળે ! પણ એનો દુરુપયોગ ના કરશો ! દાદાનો ચેક તો છેલ્લા શ્વાસે જરૂર પડે ત્યારે જ વટાવાય ! કંઈ લગ્નમાં જવા વટાવાય ? દાદા વિનાની ક્ષણ કેમ કરીને જાય ? છતાં વ્યવહાર ઉદયાધીન છે ને નિશ્ચયથી દાદા આપણી પાસે જ છે. મમતારહિતતા એક જ્ઞાનીમાં જ સંભવે ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જેને મમતા ના હોય ત્યાં મોક્ષમાર્ગ ખુલ્લો થાય ! મમતા ક્યારે જાય ? સગાંવહાલાં, મા-બાપ, ભાઈ-બહેન બધે વીતરાગતા વર્તે ત્યારે ! બાકી હજાર ગીની આપી દે પણ એક રહેવા દે એ વણિક ! ક્ષત્રિય એ ન રહેવા દે ! તેથી તો તીર્થંકર થવાને લાયક ક્ષત્રિયો જ ગણાય ! દાદાશ્રીની મમતા તો કેટલાય અવતારથી ગયેલી ! પોતાપણું ગયું એ ભગવાન કહેવાય ! એક વણિક શેઠને સાનમાં સમજાવતાં દાદાશ્રી કહે, તમારી બધી મિલકતમાંથી, છોકરીને, બીજાને આપવું હોય તેટલું આપી દો ને બાકીનું વધે તે બધુંય સંઘને સોંપી દો ! જ્યારે જરૂર પડે ત્યારે સંઘ પાસેથી લેવું, અગર આવે તો તે સંઘને આપી દેવું ! આટલી આજ્ઞા પાળો તો તમે અમારી જેમ ઉદયાધીનની લગભગ નજીકમાં આવો ! પછી બધી જવાબદારી દાદાની ! પણ મમતા એમ કાંઈ છૂટવી સહેલી છે ? જ્ઞાનીના કહ્યા પ્રમાણે કરે, તો બધી મમતા છૂટી જાય. ગમે તેટલી ભક્તિ સુંદર હોય પણ પેલી ગીની રાખી મૂકવાની ટેવ તે જાય કેમ ? આટલી જ મમતા સર્વસ્વ સમર્પણ થવા ના દે ! સર્વસ્વ સમર્પણ થયે મૂળ આત્મામાં આવી જવાય ! આ પૈસાની બેઠક રાખી તે પૂર્ણ આત્મામાં ના આવવા દે ! નિરાલંબ દશા થતાં જ જ્ઞાનીપદ આવે ! બેઠકમાં હું ને આત્મા જ હોય. આ ત્રીજી કોઈ વસ્તુ બેઠકમાં રખાય જ કેમ ? જ્ઞાની શું કરે ? જ્ઞાન દેખાડે. પછી જેને જે અનુકૂળ આવે તે ગ્રહે ! જ્ઞાનીને તો જ્ઞાનનોય આગ્રહ ના હોય કે તમે એને ગ્રહો ! ધંધામાં સામાને દુઃખ થાય પણ ભાવ વધાર્યા વિના છૂટકો ના હોય તો ત્યાં મહાત્માએ શું કરવું ? એ ધંધો વ્યવસ્થિત કરાવે છે ને ? પોતે શુદ્ધાત્મા પદમાં રહેવાનું અને ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવવાનું, પોતે નહીં કરવાનું ! બ્લેક માર્કેટિંગ કરવાનું મહાત્માને ઈફેક્ટમાં આવ્યું તે પ્રકૃતિ છોડશે નહીં, કરાવડાવશે પણ આપણે તો ‘પ્રતિક્રમણ’ કરી ‘ધોતાં’ રહેવાનું ! વ્યાજ પણ ના ખવાય, નહીં તો કસાઈ જેવું થવાય. છતાંય ચંદુભાઈ ખાય, તેનું તમારે પ્રતિક્રમણ કરવાનું. ચોરીઓ થઈ હોય તેનું પ્રતિક્રમણ કરીએ એટલે ચોરી કરવી જોઈએ એ અભિપ્રાય ઊડી જાય ! જેટલી વાર દોષ દેખાય તેટલી વાર ફરી ફરી પ્રતિક્રમણ કરવું ! અપ્રામાણિકતા, અનીતિ વગેરેનાં ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાં. અંડરહેન્ડને ટૈડકાવીએ એનું પ્રતિક્રમણ કરી છૂટી જવાનું ! દાદાશ્રીએ એકવાર ઈનામ કાઢેલું, એક ધોલ એમને મારી જાય, તેને પાંચસો રૂપિયા ઈનામ ! પણ એવું જોખમ કોણ લે ? આવી કીમતી વસ્તુની કિંમત સમજાય, તેને દુઃખ રહે અપમાનનું ? (૫) લોભથી ખડો સંસારજેટલો પરિગ્રહ ઓછો, એટલી શાંતિ જીવનમાં ! આખો દા’ડો લોભમાં ને લોભમાં જાય. ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાંય ચિત્ત ના રહે ! લોભિયો તો ઊઠ્યો ત્યાંથી લોભની ગાંઠ ફૂટે તેમ ફર્યા કરે ! શાકમાર્કેટમાંય સસ્તી ઢગલીઓ ખોળે ! બળ્યું, હસવામાંય લોભ ! લોભિયો દરેક વસ્તુ સસ્તી ખોળે ! સંડાસમાંય લોભ ! પાણી ઓછું વાપરે ! નાહવામાંય સાબુ કે પાણી વાપરવામાં લોભ ! દીવો સળગાવવામાંય બે દીવાસળી ના બાળે ! કળાથી સળગાવે ! લોભીમાં લોભી હોય તો આ કીડી ! મૂઈ સવારે ચાર વાગ્યે જુઓ તોય ખાંડ લઈને દોડતી હોય ! એક ટચકો મારી દરમાં ભેગું કરે ! અડધો કલાકેય મૂઈ ઊંઘતી નહીં હોય ! તે ભેગું કરે ને બે ઉંદરડા પેસી સાફ કરી જાય ! લે, લોભીને સરવૈયામાં શું સાંપડ્યું ? છોડી પૈણાવવા પચીસ વરસ પહેલેથી સંઘરો તે કંઈ કરાય ? એ સંઘરેલું ટકે ? આવતી લક્ષ્મી વાપરવી પણ સદ્રસ્તે ! અમૂક મૂડી રાખી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. પચીસ લાખના આસામીને પચાસ હજાર કોઈ ઘાલી જાય તો આર્તધ્યાન ચાલુ થઈ જાય ! સાડી ચોવીસ લાખની જ મૂડી હતી તેમ ગણીએ તો આર્તધ્યાન થાય ? નોકરથી જૂનું માટલું ફૂટે તો ? ને ડઝન મોંઘાં કપરકાબી ફૂટે તો ? શેઠની શી સ્થિતિ થાય ? આની વેલ્યુ મૂકી એથી ઉપાધિ ને ? ડીવેલ્યુ કરી નાખ ને ! ગમે તેટલું ભોગવે તોય તૃપ્તિ ના થાય. સંતોષ થાય ઘડીક ! તૃપ્તિ એટલે ફરી ક્યારેય તૃષ્ણા ના થાય ! ઇચ્છા ના થાય ! ‘સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે ! ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે !’ આત્મા પ્રાપ્ત થયા વિના સંપૂર્ણ તૃપ્તિ થાય નહીં. લોભી અને કંજૂસમાં શો ફેર ? કંજૂસ માત્ર પૈસામાં જ હોય ને લોભીને તો દરેક બાબતમાં લોભ હોય ! બધુંય તાણી જાય ! કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ? કરકસર એટલે હજાર કમાય અને આઠસોમાં પૂરું કરે. પાંચસો કમાય અને ચારસોમાં પૂરું કરે ! દેવું કરીને ના વાપરે ! જ્યારે કંજૂસ તો ચારસો જ વાપરે, પછી ભલે ને હજાર-બે હજાર કમાતો હોય ! દાદાશ્રી તો ઝીણાય ખરા, કરકસરિયાય ખરા ને લાફાય ખરા ! છતાં સંપૂર્ણ એડજસ્ટેબલ ! પારકા માટે લાફા, જાત માટે કરકસરિયા ને ઉપદેશ માટે ઝીણા ! સામાને દાદાશ્રીનો ઝીણો વહીવટ દેખાય ! ઘરમાં બધેય કરકસર આવકાર્ય છે, માત્ર અપવાદરૂપ રાખવું રસોડું ! એનાથી મન બગડે ! જે લોભથી આચાર બગડે, તેનાથી જાનવરમાં જવાય ! ને આચારમાં બગડે નહીં ને લોભ હોય તો ઊંચા પ્રકારનો લોભ ગણાય તે દેવગતિમાંય લઈ જાય ! અરે, મર્યા પછી નાગ થઈ ભેગા કરેલા ચરુને સાચવે ! એવો તો લોભ હોય ! આઠ આના ખોવાય, તેને ખોળવા આઠ કલાક કાઢે ! ગરીબી કે શ્રીમંતાઈ બન્ને અહિતકારી છે, નોર્માલિટી જોઈએ. કબીર સાહેબ કહે છે, ‘ખા - પી, ખીલા દે, કર લે અપના કામ, ચલતી વખત હે નરો, સંગ ન ચલે બદામ !’ લોભિયો તો વહુનેય છેતરે ! શેઠાણી જાત્રા માટે પચીસ હજાર માંગે તો શેઠ કહે, ‘હમણાં નથી’ અને બેંકમાં જુઓ તો પાંચ લાખ પડ્યા હોય! લોભ એ હિંસકભાવ છે ! બીજાની પાસેથી મારી પાસે આવે ને તેને દુઃખ થાય તે હિંસકભાવ ! લોભથી ખડો સંસાર ! જ્યારે લોભ સંપૂર્ણ જશે ત્યારે આથમશે આ સંસાર ! માનનો રક્ષક ક્રોધ ને લોભનો રક્ષક કપટ. લોભિયાને માનની પડેલી ના હોય, એકાંગે લોભમાં જ પડ્યો હોય ! અપમાન થાય ત્યાં લોભિયો હસે, જ્ઞાનીની જેમ જ વર્તે ! એનું લક્ષ તો પોતાને મળ્યું ત્યાં જ હોય ! લોભી, શેઠાણીને સસ્તી જ સાડી પહેરવા કહે, બહાર ખરાબ ના દેખાય તેટલે. ને માની, પાંચ-સાત હજારની સાડી પહેરાવે વહુને ! દેખાડો કરવા લક્ષ્મીનો ! માનવાળો જલ્દી છૂટે, લોભીને ફેરવવો મહામુશ્કેલ ! લોભ એટલે અંધાપો ! માનીને માન મળતાં જ છેતરાય ! લોભીને કશાની અસર જ ન થાય, સિવાય કે નુકસાન ! દાદાશ્રી આખી જિંદગી જાણીને જ છેતરા છેતરા કરેલા ! અને જે જાણીને છેતરાય તે મોક્ષે જાય ! લોભિયાથી જે છેતરાયો તે શ્રેષ્ઠ માણસ ! જ્ઞાની ભોળપણથી ન છેતરાય, એ તો અજ્ઞાની છેતરાય. જ્ઞાની તો જાણીને છેતરાય. ‘કબીર આપ ઠગાઈએ, ઓર ઠગે ન કોઈ. આપ ઠગે સુખ ઊપજે, ઓર ઠગે દુઃખ હોઈ.’ સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર જાય ! સુપ્રીમ કોર્ટના જજ જેવું બ્રેઈન થાય ! માનીને માન આપી, લોભિયાથી છેતરાય. સર્વનો અહમ્ પોષી, વીતરાગ ચાલી જાય ! બદલાની કોઈ આશા વિણ વર્તે વીતરાગ ! દાદાશ્રીએ તો માંકણનેય ક્યારેય પોતાની (દેહરૂપી) હોટેલમાંથી ભૂખ્યા જવા નહીં દીધેલા ! કાયમ ચોવિહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી વિ. નિયમો રાખેલા ! અંતે આ આખું અક્રમ વિજ્ઞાન કે જે આખા જગતને પ્રભાવિત કરી દે, તેવું પ્રગટ્યું ! આપણા છેતરાવાથી સામો વધુ બગડે તેનું શું ? એના ઉત્તરમાં દાદાશ્રી કહે છે, એવા બે-પાંચ જ બગડે અને એમને કુદરત યોગ્ય દંડ દેશે જ ! મારી ધોલ પોલી વાગે, કારણ દયાળુને અમે ! જ્યારે કુદરત બરાબર લપડાક મારશે ! સમજીને છેતરાવા જેવા પરમાર્થ ને પુરુષાર્થ અન્ય નથી કોઈ ! મનુષ્ય માટે વિશ્વાસ એ ઊંચી વસ્તુ છે. ગમે તેટલા દગા-ફટકા મળે પણ વિશ્વાસ મૂકવાનો મૂકી ના દેવાય ! અધ્યાત્મમાં અહિત નીવડશે. સમજીને છેતરાયો તેનો બેડો પાર.... દાદાશ્રીએ ક્યારેય નોટો ગણવામાં ઉપયોગ નથી બગાડ્યો. આવા કામમાં તેમનું હાઈપાવર મશીન તે રોકાતું હશે ? બે-પાંચ ઓછા આવે તે પોષાય પણ આ ના પોષાય ! પણ બીજાને ગણીને આપવા ને ગણીને લેવા એમ શિખવાડતા ! કારણ ઓછા-વત્તા થાય તો તેને તે પોષાય ? વડોદરાથી ગામના લોકો માટે વસ્તુઓ મંગાવેલી લાવે તો બે રૂપિયા ઓછા ભાવે આપે, જાતે ખોટ ખાઈને ! રખેને પોતાને મોંઘા ભાવે મળ્યા હોય તો ? સામાવાળાને શંકા જાય તો પ્રેમ તૂટી જાય ને ! સરકારના કાયદા એવા આવ્યા કે વ્યાપારીઓ ઉપલક પૈસા કાઢતા થયા ! એમાં કોણ ગુનેગાર ? હા. ચોરી કરવી એ બધો ગુનો કહેવાય ! એટલે આ ટેક્સના કાયદા આવ્યા તેય ‘વ્યવસ્થિત’ ને લોકોએ રસ્તા કાઢ્યા તેય ‘વ્યવસ્થિત’. તમારે તો શુદ્ધાત્માભાવે જોયા કરવાનું આ ‘અપરાધી’ને ! યુગાન્ડાની સરકારે બે નંબરનાં નાણાંને પણ લીગલાઈઝડ કર્યું, પછી ગુનો કરવાનો રહ્યો જ નહીં ને ! લોભિયાની જાગૃતિ જેમ લોભમાં ને લોભમાં રમતી હોય તેમ જો આત્મામાં જાગૃતિ રમ્યા કરે તો સંસાર અડે જ નહીં ! રેલવેમાં વજન પ્રમાણે ટિકિટનો રેટ હોત તો લોભિયો પાતળું થવાની ઇચ્છા સેવે ! સમ્મેત શિખર, રાજગ્રહી બધે પહાડ પર ચઢવાની ડોલીઓનો ચાર્જ વજન પર જ હોય છે ને ! માનના હેતુ માટે લોભ હોય ! સ્વરૂપજ્ઞાન પછી માન ને લોભને જોયા કરવાથી એ જાય. એ જ ઉપાય ! બાકી તો ગૂંચાયા જ કરે એમાં લોકો ! લોભની ગાંઠ તોડવા એક જણને દાદાશ્રીએ ઉપાય બતાવેલો કે દરરોજ પંદર-વીસ રૂપિયાનું પરચૂરણ વેરતું જવું ! મન ઓછું કરવા માંડે દહાડે દહાડે, તે પછી અઠવાડિયા પછી સામટા સો રૂપિયા વેરી આવવા એટલે મન ઠેકાણે આવે ! લોભની ગાંઠ ઓગાળવાનો બીજો ઉપાય એ કે મનથી બધી મિલકતોને, બેંકબેલેન્સને ઉપાડી આપી દેવાનું ! મનથી, રૂપકમાં નહીં ! રૂપક તો ‘વ્યવસ્થિત’ના હાથમાં છે ! પણ ભાવનાથી આપે તોય ગાંઠો બધી નીકળી જાય ! મરતી વખતે આપણા લોક છોકરાનેય આપી જાય એવા નથી, જો જોડે લઈ જવાતા હોત તો ! લોભ તોડવા શાક જે ભાવે આપે તે લઈ લેવું. શ્રીમદ્ રાજચંદ્રે લખ્યું છે કે, ‘જ્ઞાનીપુરુષની તન, મન અને ધનથી સેવા કરજો ! હવે જ્ઞાની પુરુષને ધનની શી જરૂર છે ? એ તો કોઈ ચીજના ઈચ્છુક ના હોય ! એમને જરૂર નથી પણ તમારી લોભની ગાંઠ તોડાવવા એ તમને કહે કે ફલાણી જગાએ પૈસા દાન કરી આવો ! લોભની ગાંઠને તોડે હડહડાટ ભયંકર ખોટ ! જેને કંઈ જ જોઈતું નથી, બધી લોભની ગાંઠ તૂટે ત્યારે વર્તે અનંત સમાધિ સુખ ! આપણા હિન્દુસ્તાનમાં લોભ ફુલ ડેવલપ થયેલો હોય. ફોરેનવાળાને બહુ થોડો હોય ! એ પૈસા બચાવી ના શકે ! ફોરેનમાં લોભ બાબો ૧૮ વર્ષ સુધીનો થાય ત્યાં સુધીનો ! ને આપણે ત્યાં સાત પેઢીનો લોભ ! પેલા આંધળા વાણિયાએ ભગવાન પાસે માંગેલું ને કે મારા દીકરાના દીકરાની વહુ હવેલીના સાતમા માળે સોનાના પારણામાં દેવ જેવો દીકરો ઝુલાવે, તે હું નીચે રહીને જોઉં ! જેમ લોભ વધારે તેમ બળતરા વધારે ! લોભીયાને પાર વગરની બળતરા તેથી જ સ્તોને ! અંતર સુખ ને બાહ્ય સુખનો કાંટો બેલેન્સમાં રહેવો જોઈએ ! તે અત્યારે તૂટી ગયું છે બેલેન્સ ! પૈસો સારા રસ્તે જાય તે સુખિયો, નહીં તો ગટરમાં તો જવાના જ છે ! ‘લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની નિંદા-કૂથલીમાં પડે ત્યારે !’ મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે ! આપણો દેશ ક્યારે ઊંચો આવશે ? નિંદા ને તિરસ્કાર બંધ થશે ત્યારે ! લોભ વધે ત્યારે નિંદા ને તિરસ્કાર બેય થાય બંધ ! ધીમે ધીમે હિન્દુસ્તાનમાં સુખનો લોભ વધતો જાય છે ને નિંદા-કૂથલી ઘટતી જાય છે. માટે હિન્દુસ્તાન જરૂર ઊંચું આવશે વિશ્વમાં ! ૨૦૦૫ની સાલમાં હિન્દુસ્તાન વિશ્વનું કેન્દ્ર બનશે ! યુગપલટો આવી રહ્યો છે ! વચ્ચેનો ભયંકર કાળ જશે ! કુદરતની લપડાક પડશે પણ તે ન્યાયસર જ ! કુદરત ક્યારેય એક મિનિટ ન્યાયની બહાર જતી જ નથી ! સુકાળ પડે તેય ન્યાય ને દુકાળ પડે તેય ન્યાય ! (૬) લોભની સમજ, સૂક્ષ્મતાએકેટલાય અવતારો સુધી રખડાવે તેવો જો કોઈ એક દોષ હોય તો તે છે લોભ ! પાપાનુબંધી પુણ્ય એવું હોય કે પૈસો પુષ્કળ હોય પણ આખો દહાડો શેઠનો હાય પૈસા, હાય પૈસામાં જ જાય ! ભોગવી ના શકે તે આવતા ભવ માટે પાપ બાંધે. પુણ્યાનુબંધી પુણ્ય એટલે સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઈચ્છા ના રાખે ! જીવતર જીવતાં તો તેને આવડ્યું કહેવાય કે પોતાનું બધું સારા રસ્તે ભેલાડે ! નહીંતરેય પોતે તો ભેલાઈ જ જવાનો એક ’દી ! જોડે કયું આવે ? પારકાનાં દિલ ઠાર્યાં હોય તે ! ને સગાંવહાલાંનાં દિલ ઠારે તેં તો તેમની સાથેના હિસાબ ચોખ્ખા કર્યા ગણાય ! જે સિકવન્સમાં જાય છે તે છે ક્રોધ, પછી માન, પછી માયા ને છેવટે જાય લોભ ! કોઈપણ વસ્તુ જુએ ને લેવાનો ભાવ થયો તે લોભ ! એ લીધેલી વસ્તુ દેખાડવાનો ભાવ થયો તે માન ! પછી કોઈ એને લઈ લેતું હોય તે રક્ષણ કરે જેનાથી તે ક્રોધ અને માલ લેતી વખતે બદલી લે તે કપટ ! જેને ઈચ્છા જ નથી કોઈ જાતની તેને કષાય બિલકુલ નથી ! પૈસા સંઘરે તે સુખી થાય એ લોકસંજ્ઞાથી માનતો થઈ ગયો તે થયો લોભી ! નવાણુંનો ધક્કો વાગ્યો કે પેઠો લોભ ! બીજે બધે કરકસર કરાય પણ આત્મા માટે નહીં ! (સારા રસ્તે વાપરવા.) લોભી ને કરકસરવાળામાં શો ફેર ? લોભીનું ચિત્ત પોતાની મૂડી ઓછી ના થાય તેમાં જ રસ અને કરકસર એટલે પૈસો વપરાતાં કેમ કરીને બચે તેમ કરે. શાક લેવા જાય તો પાંચ મિનિટ વધારે ફરી લઈ સસ્તું પણ સારું શાક લાવે ને લોભી ઢગલીઓવાળું ખરાબ પણ સસ્તામાં સસ્તું લઈ આવે ! પૈસા બચાવીને સારા કામમાં વાપર્યા તે લોભ તૂટ્યો ! લોભિયો કોઈ રંગમાં રંગાય નહીં ! સત્સંગમાંય નહીં ! એની મહીં ગણતરીઓ જ ચાલતી હોય કે કોની ગાડીમાં જવાનું મળે તો પાંચ રૂપિયા રિક્ષાના બચે ! સત્સંગમાંય ઘરબાર બધું ભુલાય નહીં, તે લોભી ! સત્સંગમાં જ નહીં પણ બૈરી, છોકરાં કે મિત્ર જોડે રંગાય નહીં, એનું નામ લોભી ! માન ભોળું તે અપમાન મળતાં જ તૂટે. લોભી આર્તધ્યાન, રૌદ્રધ્યાન કર્યા કરે આખો દહાડો ! મૂળ દ્રષ્ટિ આત્મા ભણી ન જતાં ચાર ગ્રંથિઓ - ક્રોધ, માન, માયા, લોભ તરફ એવી તો ચોંટેલી હોય કે તે છૂટે નહીં ! માનની ગાંઠવાળો સવારથી જ માન મેળવવા ગણતરીઓ કરતો હોય ! મોટામાં મોટી લોભની ગાંઠ. લોભ ના તૂટે તો દ્રષ્ટિ બદલાય જ નહીં ! આખો દા’ડો જીવ લોભમાં ને લોભમાં જ હોય ! લોભનો રક્ષક કપટ. લોભની ગાંઠ કોઈ તોડે નહીં તે માટે કપટ રક્ષણ કરે. આપવાના થાય ત્યારે કપટ કરી અણી ચુકાવડાવે. વણિકોને લોભની ગાંઠ ભારે હોય. ક્ષત્રિયોને ગરીબાઈ હોય ત્યાં સુધી હોય. શ્રીમંતાઈ આવે ત્યાંથી એ તૂટે ! મૂળથી જ રાજેશ્રી હોય, પણ વાહ-વાહ થાય ત્યાં જ દાન કરે ! દાદાશ્રી પોતાની માનની ગાંઠ માટે કાયમ કહેતા કે ‘(આ જ્ઞાન થયા પહેલાં) અમેય વાહ-વાહ કરે ત્યાં લાખો રૂપિયા ધૂળધાણી કરી દઈએ ને આમ ધર્માદો ન કરાય ! મારવાડીઓ લોભી ભારે પણ ધર્માદોય જબરો કરે ! જાતે વાપરે નહીં ! સરકાર વેરો મોટો નાખે ત્યારે તૂટે લોભની ગાંઠ ! હાથ ખાલી હોય પણ દિલનો રાજા હોય તે સારો ! જાત્રામાં ખર્ચો થાય તેથી લોભ કપાય ! આપણે પોતાના લોભને વગોવીએ, વઢીએ ત્યારે તેનાથી છુટાય. જ્ઞાનીનેય ના ગાંઠે એવી ગાંઠોવાળા લોભિયા ઘણાય નીકળ્યા ! પસ્તાવો કરે, લોભને ‘જોયા’ કરે તો એ જાય, પણ ‘જોવા’ ના દે એ ગાંઠ જલ્દી ! જાગૃતિનું અજવાળું લોભ પર પડવાને બદલે લોભનો પડછાયો પડે જાગૃતિ પર ત્યાં કેમનો જાય લોભ ? સત્સંગનો ભીડો લોભની ગાંઠો તોડાવે ને નિર્મળ બનાવે નિજદોષ દેખાડીને ! મોક્ષને ધ્યેય બનાવી આત્મરૂપ થાય તો જ લોભ છૂટતો જાય. છેલ્લામાં છેલ્લો જાય છે લોભ ! આત્મા તરફની પ્રગતિ ઝપાટાબંધ ક્યારે થાય ? જ્ઞાનીને પ્રિયમાં પ્રિય, અતિપ્રિય વસ્તુ સમર્પણ કરે ત્યારે ! ત્યારથી વધારે ચોંટે જ્ઞાનીને. જ્ઞાની પૈસા વાપરવાના દેખાડે તે કંઈક હેતુ હોય ત્યારે જ ને ? અલ્યા ખેતરમાં પાક્યું તે ફરી પકવવા બિયારણ ના નાખવું પડે ? આ પટેલો તો બિયારણેય ખાઈ જાય ! સારા રસ્તે વપરાયેલી લક્ષ્મી આવતા ભવ માટે ઓવરડ્રાફટ નહીં એ ? જ્ઞાન ના હોય તોય લોભ છોડી શકે. મોટું દેરાસર બાંધે ને ઓવરડ્રાફટ લે (પુણ્યઉપાર્જન કરે) ! કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની તન-મન ને ધનથી સેવા કરવી, કારણ તે સિવાય ભક્તિ પરિણામ પામતી નથી. જોકે જ્ઞાની પુરુષને તો કંઈ જ ખપતું નથી. તે લેતાય નથી કશુંય. દાદાશ્રી પાસે લૂખું અધ્યાત્મ નથી પણ આદર્શ વ્યવહાર સાથેનું છે ! વ્યવહાર-નિશ્ચયની બન્ને પાંખે મોક્ષે રોકેટની ગતિએ ઊડીને જવાય, તેવું આ અક્રમ વિજ્ઞાન પ્રકાશમાન થયું છે દાદાશ્રીના નિમિત્તે. જીવન કેવું હોવું જોઈએ ? પરોપકારાર્થે, પરકલ્યાણાર્થે. તીર્થંકરોને જ જુઓને ! સમગ્ર વૈભવ, રાજપાટ, રાણી, કુંવરી મૂકીને ચાલી નીકળ્યા. નિર્ગ્રંથ બનીને ! શેને માટે સ્વ-પરકલ્યાણાર્થે ! સ્વનું કલ્યાણ થયું છતાં એ જ રીતે વિચર્યા, પરના કલ્યાણાર્થે ! એનું નામ જીવન. બૈરી, છોકરાં માટે તો અનંત અવતાર કુટાય ! પણ એક અવતાર પારકા માટે તો ગાળી જુઓ ! સેવાભાવ નક્કી કરે તેને લક્ષ્મી બાય પ્રોડક્શનમાં આવી મળે જ ! આત્મા પ્રાપ્ત કરવા જે કંઈ પણ કરવામાં આવે તે મેઈન પ્રોડક્શન, તેને સંસારની બધી જ જરૂરિયાતો બાય પ્રોડક્શનમાં મળી આવે જ. દાદાશ્રી કહે છે, ‘હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું. જગત આખું, પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો ! બાય પ્રોડક્શનમાં અમને શું નથી મળતું ? માટે જીવનનો હેતુ બદલો ને કામ કર્યે જાવ ! મોક્ષના હેતુ પછી લક્ષ્મી લક્ષમાં રહેવી જ ના ઘટે. જગતનું કામ કર્યે જાવ, તમારું કામ જગત કરી લેશે ! (૭) દાનનાં વહેણસારાં કાર્યો કરવાં એટલે શું ? માત્ર પૈસાથી જ એ થાય ? એવું નથી. ઓબ્લાઈઝિંગ નેચરથી પણ થઈ શકે ને ? કોઈનું કામ કરી આપે, ધક્કો ખાય, ગમે તે રીતે થાય. લક્ષ્મીનો સદુપયોગ કેવી રીતે થાય ? પારકાના ઉપયોગ માટે કે ભગવાન માટે વપરાય તે. બાકી બીજાં બધાં ગયાં ગટરમાં. પારકા માટે વાપરવાથી પોતાની પરભવની સેફસાઈડ થાય છે ! દાન મોક્ષને માટે નથી થતું, સુખ આપી સુખ લેવા માટે ! દાન સારું કે ઉપવાસ કરવો સારો ? દાન કરવું એટલે ખેતરમાં વાવવું ને પછી લણવું. જ્યારે ઉપવાસથી જાગૃતિ વધે. જીવતાંને કકળાવે ને આમ મંદિરોમાં લાખો દાન કરે એ કેવું ? જીવતાં જોડે કરે તો તો પરમ કલ્યાણ થઈ જાય ! આજકાલ ગરીબ કોને કહેવો તે મુશ્કેલ છે ! આમ ભિખારી હોય પણ બેંકમાં લાખ રૂપિયા જમા હોય ! ભિખારીના નામે વેપાર થઈ ગયો છે ! દાન કરી તકતીમાં નામ મુકાવ્યું, તે કર્યું ધૂળધાણી ! નામની તો નનામી નીકળવાની ! અનામી થાય તો કામ થાય ! લક્ષ્મી કેમ ટકતી નથી ? ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકે એવી જ નથી. હા, એનું વહેણ ફેરવી દો. સારા રસ્તે વાળી દો ! નહીં તો ગટરમાં તો જવાની જ છે ! મહાપુણ્યશાળી હોય તેની લક્ષ્મી સારા રસ્તે ખર્ચાય ! ખોટે રસ્તે ખર્ચાય ત્યાં કંટ્રોલ કરી નાખો ને સારે રસ્તે ખર્ચાય ત્યાં ડીકંટ્રોલ કરી નાખો. મન બગડે તેથી ધર્માદામાં અપાય નહીં ! અંતરાય કેવી રીતે પડે ? કોઈ દાન આપતું હોય ને બુદ્ધિવાળો કહે, ‘આ તો ચોર કંપની છે, અહીં તો અપાતા હશે ? તેણે પાડ્યો અંતરાય. આપનારે આપ્યું ને લેનારે લીધુંય ખરું ! પણ આણે વગર લેવાદેવાએ પાડ્યો અંતરાય, માત્ર બોલીને જ ! મનથી તો વધારે ભારે અંતરાય પડે ! મનથી પાડેલા અંતરાય આવતા અવતારે ફલિત થાય ! નિશ્ચય કરે, નક્કી કરે કે મારે આપવા જ છે, તેનાથી અંતરાય તૂટે ! અને નેગેટિવ વિચાર આવે તેનું પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાં પડે તો અંતરાય પડતા અટકે ! સુષમકાળની લક્ષ્મી મોહ માટે હતી, જ્યારે આ દુષમકાળમાં તો લક્ષ્મી, હાર્ટએટેક કરાવે ! માટે આ લક્ષ્મીને ધર્મમાં વાળજો. ખરે ટાઈમે ધર્મ જ ધરી રાખશે ! ચાર પ્રકારનાં દાન વીતરાગોએ વર્ણવ્યા. ૧. આહારદાન ૨. ઔષધદાન ૩. જ્ઞાનદાન ૪. અભયદાન. ભૂખ્યાને જમાડો. આજનું તો જીવતદાન એને મળ્યું ! પછી કાલની ફિકર ના કરો. કાલે એને કોઈ બીજો મળી આવશે ! એક દિવસનું જીવતદાન, એક ટંક જમાડીને, કરો ! ઔષધદાન એટલે સાધન વગરનો માણસ માંદો પડે તો તે દવાના પૈસા ક્યાંથી લાવે ? એવાને દવાના પૈસા આપવા અગર દવા લાવીને મફત આપવી, તેનું નામ ઔષધદાન. આ દવાથી જે બે-પાંચ વરસ જીવી ગયો ! અને દર્દથી રિબાતો અટક્યો ! આહારદાન કરતાં ઔષધદાન ઊંચું ! ને ઔષધદાનથી ઊંચું જ્ઞાનદાન ! લોકોને સન્માર્ગે વાળે એવાં પુસ્તકો છપાવી વહેંચવાં, તેને જ્ઞાનદાન કહ્યું. કોઈને પણ દાદાનું એક વાક્ય મળી જાય તો કેટલો બધો ફેરફાર કરી નાખે છે ? વધારે લક્ષ્મી હોય તો જ્ઞાનદાનમાં વાપરવી તે ઉત્તમ. સૌથી ઊંચામાં ઊંચું અભયદાન. આપણાથી કોઈ પણ જીવને કિંચિત-માત્ર પણ, આપણાં વર્તન, વિચાર ને વાણીથી ભય ના લાગે એને કહેવાય અભયદાન. દાદાશ્રી નાનપણમાં રાત્રે બાર વાગે ઘેર આવે તો બૂટ હાથમાં લઈને હળવેકથી આવે, જેથી કરીને કૂતરાંને ઊંઘમાં ખલેલ ના પહોંચે. એનું નામ અભયદાન. અભયદાનમાં પૈસાનીય જરૂર નહીં. પણ એમાં કોઈનું ગજું નહીં. એ તો જ્ઞાની કે જ્ઞાનીનો પરિવાર જ આપી શકે ! તેથી બધાંયે પૈસા વાપરી પતાવે એ દાન કરવાં ને ‘અભયદાન’નો ભાવ કરવો ! દાનમાં લક્ષ્મી સીધી ક્યાંય આપવાની વીતરાગોએ નથી કહી ! ગાય મરવાની થાય તેને દાનમાં આપે તેનો શો અર્થ ? વધેલું હોય તે ભિખારીને ખવડાવે છે, કોઈ નવું રાંધીને ખવડાવે છે ? વીતરાગોને ત્યાં ગપ્પું ના ચાલે. નામ કાઢવા જે પુસ્તકો છપાય છે તેને કોઈ વાંચતું નથી ! લોકોને કામ લાગે તેવાં પુસ્તકો છપાય તે કામનું. મુંબઈમાંથી મોટા મોટા દાનનો પ્રવાહ વહે છે ! મુંબઈ પુણ્યશાળીઓની નગરી છે ! ગટરમાંય એટલું જ નાણું જાય છે. મુંબઈની ધરતીનો એવો ગુણ છે જ્યાં ઊંચામાં ઊંચી વસ્તુ ખેંચાઈને આવે ! મુંબઈની પ્રજા બધા કરતાં વધારે સંસ્કારી છે ! એક જમાનો હતો સોનૈયા દાનનો અને આજે છે ઓનના દાનનો ! એક જમાનાના દાનીને ભગવાન શ્રેષ્ઠી કહેતા તેનું આજે અપભ્રંશ થયું ને સાઉથમાં શેટ્ટી કહેવાયા અને અહીં અપભ્રંશ થઈને શેઠ કહેવાયા ? અરે ! કેટલાક મિલના શેઠને તેના નોકરો ખાનગીમાં શું કહે છે ? માતર કાઢી નાખવા જેવા છે ! કર્ણ ભારે દાનેશ્વરી હતો ! પણ મોક્ષને માટે તે લાયક નહીં, કારણ મિથ્યાત્વીના પક્ષમાં હતો ! મિથ્યાત્વીના પક્ષમાં ગમે તેવો સંતપુરુષ હોય તોય તે થઈ જાય મિથ્યાત્વી. મિથ્યાત્વીના ઘરનું એક દહાડો અનાજ ખાય તોય મિથ્યાત્વી બનાવી દે ને એક શબ્દ મિથ્યાત્વીનો કાનમાં પેઠો કે આવરણ ફરી વળે ! આટલું નાણું કમાયા પણ સારા રસ્તે કેટલું નાણું વપરાયું ? સાચા દાતારને ત્યાં લક્ષ્મી ખૂટે નહીં, પાવડેથી ખોદીને દાન કરે તોય ! બે નંબરનાં નાણાંનું દાન પુણ્ય બંધાવા ચાલે ? ચોક્કસ ચાલે, એટલો પોતાની પાસેથી ત્યાગ થયોને ? ત્યાગની કિંમત ! પછી કયા રસ્તેથી આવ્યા, કયા હેતુથી અપાયા, વિ.ની ગણતરી થાય ને પ્લસ-માઈનસ થઈ જાય. હિંસાખોરીની કમાણી દાન કરી દે તો ? તેટલાની તેની જવાબદારી ના રહે ! અપેક્ષા વિણ દાન કરે તે ઉત્તમ. અપેક્ષાવાળું દાન સત્ત્વહીન સમ. બે નંબરનું નાણું જ્યાં જાય ત્યાં આમ દેખીતી મદદ કરે પણ તેને આથમી જતાં વારેય નહીં ! કૅમફ્લાઝ જેવું ! કેટલાક દાણચોરો એરણચોરી કરે ને સોયદાન એવું કરે ! તે નર્કે જાય ! દાનતચોર તેથી ! નામ કાઢવા ગાંઠના ગોપીચંદન ખર્ચે ! આજે ગમે તેટલાં દાન થઈ રહ્યાં છે પણ નાણું જઈ રહ્યું છે ગટરમાં ! મંદિરોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, હોસ્પિટલોમાં પાર વગરનું નાણું વહી રહ્યું છે છતાં વહેણ છે ગટર ભણી ! એવું શાથી ? દાતાના નામની તકતીઓ મુકાય છે ઉપર તેથી ! આ તો અહંકાર પોષવાનું મુલાયમ સાધન સાંપડ્યું બે નંબરીઓને ! લાખ રૂપિયા દાનમાં આપે ને તકતી મૂકે ને ગુપ્તદાનમાં એક રૂપિયો જ આપે તોય આ ગુપ્તદાનનો એક રૂપિયો કિંમતી ઠરે છે ! દાન કીર્તિ માટે કરે તે બહુ નુકસાનકારક. મોક્ષમાર્ગમાં જનારાની કીર્તિ તો બહુ ફેલાય પણ તેમાં તેને રસ જ ન પડે ! મારવાડીઓ લાખોનાં ગુપ્તદાન દેરાસરમાં કરે તે ઊગે ! દાદાશ્રી પોતાની પૂર્વેની પ્રકૃતિનું વર્ણન કરતાં કહે છે કે, અગાસ જતાં ત્યાંની ૧૯૩૫થી ૧૯૪૨ સાલની વાત છે ત્યારે સોની નોટ મૂકી ૭૫ પાછા માંગતો ! હવે પાછા ના લે તો ચાલે પણ મન કાચું. લોકો એમને બહુ નોબલ કહેતા. તે શાથી ? જ્યાં વાહ-વાહ મળે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયોય ના નીકળે ! આમ કમાણીની ધૂળધાણી કરી આખી જિંદગાનીમાં ! લોક તો ભગવાન મહાવીરની વાહ-વાહ કરે પણ ભગવાન મહાવીર તેને સ્વીકારે ? સ્વીકારે તે થાય રોગી ને ના સ્વીકારે તે રહે નીરોગી. વાહ-વાહ કરનારો સત્યકાર્યના અનુમોદનાનું પુણ્ય બાંધે ને સ્વીકારનારો જાય માર્યો. વાહ-વાહ સ્વીકારે તો બધું એનું ધોવાણ થઈ જાય ! જેના માટે દાન કરીએ એને પુણ્ય ના મળે. કોઈના માટે જમીએ તો પહોંચે ? જે કરે તેને મળે. દાદાશ્રીનીય હજારો લોક પ્રશંસા કરે. તે તેમને મીઠું લાગે પણ તેના પર તેમને રાગ ના હોય ને કોઈ કડવું બોલે તેના પર પણ દ્વેષ ના હોય. કષાયો આત્મજ્ઞાન પછી જ છૂટે ને પછી જ પ્રગટે શુદ્ધ મૂળ ચારિત્ર ! મમતાનો વસ્તાર ને વિસ્તાર બહુ મોટો ! લક્ષ્મીને વિષયની મમતા છૂટી કે છૂટ્યો સહુ સંસાર ! સ્થૂળકર્મનું ફળ સ્થૂળમાં આ ભવમાં જ મળે ને સૂક્ષ્મકર્મનું ફળ આવતા ભવે ફળે. ગાળ દીધી કે લાફો માર્યો તેનું ફળ આ ભવમાં જ મળે ને માનસિક કર્મ ભાવકર્મ થાય તેનું ફળ આવતા ભવે મળે. માટે શુભ ભાવ કર્યે જાવ. નાણું સારા રસ્તે ખર્ચાય એવો ભાવ કર્યે જાવ. પછી અપાયું કે ના અપાયું તે ‘વ્યવસ્થિત’ના તાબે ! વીતરાગોને તો દાન લેવાનો કે આપવાનો ભાવ ના હોય ! એ તો સ્વભાવભાવમાં જ હોય ! કોઈના દબાણથી પચાસ હજાર દાન કરે ને મનમાં ભાવ કરે કે એક પૈસોય આપવા જેવો નહોતો તો તેને તે ફળે ને પાંચ રૂપિયા દાન કરે ને મનમાં ભાવ કરે કે આજે પાંચ લાખ હોત તો બધા જ આપત તો તેને તેવું ફળે ! અવળો ભાવ કર્યો તેનું ગયું વ્યર્થ ! સ્થૂળ ફળ મળે પણ સૂક્ષ્મમાં તો ઝીરો થઈ ગયો ! કારણ કે ભાવિ ભાવ અવળો ચાર્જ કર્યો ! અને સ્વરૂપજ્ઞાનવાળાને તો સાયન્ટિફિક રસ્તો છે ! તેમણે તો જ્ઞાન હાજર રાખીને જાતને ટકોર કરવાની કે આવું તમને ખોટું ઘટે ? એટલે આવતા ભવને માટે છૂટ્યા ! વીતરાગ વિજ્ઞાન કેટલું મુક્ત રખાવનારું છે ! જ્ઞાન વિના શી ગત થાય ? એના વગર પાર જ નથી. જ્ઞાન લઈનેય જે સત્સંગમાં પડી રહ્યા તેનું તો કામ જ થઈ ગયું ને ! છોકરાઓને કેટલું આપવું ? આપણા બાપે આપણને જેટલું આપ્યું એ બધું જ આપવું ને વચલો માલ આપણો, તેને ધર્માદામાં વાપરો ! છોકરાંને વધારે આપી જાય તો તે દારૂડિયો ને જુગારિયો થશે ! તેને ભણાવી-ગણાવીને નોકરી-ધંધે વળગાડવો. પછી જવાબદારી આપણી નહીં. દીકરા જોડેનો વ્યવહાર ને વીલ કેમ કરવું તે આદર્શ રીત દાદાશ્રી પાસેથી જ મળે ! છોકરાંનું હિત સચવાય ને પોતાનું પણ ! મર્યા પાછળ કરે તો તેના આત્માને શાંતિ મળે ? અહંકારને મળે. મૂળ આત્માને નહીં. દાદાશ્રીએ હીરાબા પાછળ બધું કર્યું, તે સારા દેખાવા માટે નહીં પણ હીરાબાની ઇચ્છાપૂર્તિ માટે ! જે છેતરાય - ઘસાઈ છૂટે, નોબિલિટી વાપરે ત્યાં લક્ષ્મી વસે. ગઈ હોય તોય થોડા વખતમાં પાછી આવે ! દાનમાં આપવા છે, આપવા છે, બે લાખ થાય ત્યારે આપીશું એમ કરતાં કરતાં સાહેબ મીંચી દે આંખો ને રહી જાય બધુંય ! હોય ત્યારે આપી દેને ! ગજા પ્રમાણે. દાદાશ્રી કહે છે, મારી પાસે લક્ષ્મી હોત તો હુંય આપત. પણ એવી કંઈ લક્ષ્મી હજુ મારી પાસે આવી નથી. અને આવે તો હજુયે આપવા તૈયાર છું. રામચંદ્રજી વનવાસ ગયા ને ભરતને રાજ ચલાવવા સોંપ્યું ને પ્રજાને દુઃખી ના થવા દઈશ એમ કહ્યું તે ભરતે રાજભંડાર ઉલેચીને પ્રજાને લૂંટવી ને વેરા બંધ કર્યા. તે પ્રજા બેઠાડુ થઈને પાયમાલ થઈ ગઈ ! દાનેય વિવેકપૂર્વક ના હોવું જોઈએ ? જરૂરિયાતવાળાને રોકડા રૂપિયા તે અપાતા હશે ? તેને ધંધામાં મદદ કરવી, વસ્તુ લાવી આપીને. વંટોળિયાનો વ્યવહાર કેવો ? એક જ બારણું ખુલ્લું હોય તો તે મહીં પેસે ? જો સામસામાં બન્ને ખુલ્લાં હોય, આવન-જાવનનો તો ? એવું આ લક્ષ્મીજીનુંય છે. કયા રસ્તે જવા દેવી તે આપણે જોવાનું ! આવકનો પાંચમો ભાગ પરાર્થે ભગવાનને ત્યાં વાપરે તો આવતા ભવનો ઓવરડ્રાફટ મળે ! જે કંઈ કરે તે જાય પારકા ખેતરમાં ! તે પરાર્થી. સ્વનો એટલે કે આત્માનો અર્થી તે સ્વાર્થી અને પરમ અર્થ એટલે મોક્ષે લઈ જાય તે પરમાર્થી. મોક્ષનો માર્ગ શું ? સારા રસ્તે ભેલાડતા જાય તે. નહીં તોય છેવટે પૂળો મૂકવાનો જ ને ? જેને મોક્ષે જ જવું છે તેને ભેલાડવાની જિગર જાગે ! સ્વરૂપજ્ઞાન અને ભેલાડવાનું સાથે બને તો તેના પ્રોગ્રેસની વાત જ શી કરવી ? ભેળું કરવાની ભાવના એ સંસારમાર્ગ ને ભેલાડવાની ભાવના એ જ મોક્ષમાર્ગ. ઓવરડ્રાફટ કેવી રીતે કઢાવવો, ક્યાંથી કઢાવવો તે જ્ઞાનીને પૂછી પૂછીને કરજો. વાણીથી ને વર્તનથીય દાન અપાય પણ મનથી ના અપાય તો તેનું ફળ ના આવે. મનથી આપ્યા કરે ને વાણી ને વર્તનથી ના અપાય તોય તેનું ફળ આવે આવતાં ભવે ! વીતરાગ વિજ્ઞાનમાં ભાવની કિંમત છે ! અને મન, વાણી ને વર્તનથી આપવું છે તેની તો વાત જ જુદી ! રોકડા રૂપિયા દાનમાં આપે તો મૂઓ દારૂ પી આવે ! નવા ધાબળા ઓઢાડે, તે વેચીને દારૂ પી આવે ! માટે શુક્કરવારીમાંથી જૂના એકને બદલે ત્રણ લાવીને અપાય જેથી તેને કોઈ ખરીદે જ નહીંને ! મીઠાઈ કે બીજી ખાવાની વાનગી લાવી ખવડાવવી. માટે વિચારપૂર્વક દાન કરવું ! દાદાશ્રીએ એમના હાથે અત્યંત આદર્શ વ્યવહાર પૈસા સાથે રાખેલો ! જીવનમાં ક્યારેય પોતાના અંગત ખર્ચ માટે, ભાડા માટે કે કપડાં માટે કોઈની પાસેથી લીધા નથી ! પોતાની જ કમાઈના વાપર્યા. એટલું જ નહીં અમેરિકામાં એમને લોકો ઢગલેબંધ નાણાં ને વસ્તુઓ આપતાં, સોનાની ચેન પહેરાવતાં પણ તેઓ અડતાંની સાથે જ પરત કરતા ! એમની સાથે ફરનારાને પણ એ જ આદર્શમાં એમણે રાખેલા. જેને સરપ્લસ નાણું હોય તેને દાન કરવા કહેતા. સીમંધર સ્વામીના દેરાસરમાં કે પુસ્તકો છપાવવામાં - તે પણ બધી રીતે પૂછપરછ કરીને, ઘરમાં બધાંની સંમતિ લઈને પછી જ પૈસા અપાવતા અને તે વખતે તેની સાથે શરત કરતા કે, આ પૈસા તારા સંઘમાં જમે રહેશે, જેમ બેંકમાં મૂકે તેમ ! અને ભવિષ્યમાં તને જ્યારે પણ અડચણ હોય તો તેને પાછા વિના સંકોચે લઈ જવાની છૂટ સાથે ! સીમંધર સ્વામી કે જે મહાવિદેહ ક્ષેત્રમાં હાજર તીર્થંકર છે, પોણા બે લાખ વર્ષની ઉંમર છે. એમની જોડે દાદાશ્રી તાર સાંધી આપતા કે જેથી અહીંથી છૂટીને ત્યાં જ તેમની પાસે મહાવિદેહ ક્ષેત્રમાં જવાય ! ત્યાંથી તેમનાં દર્શનથી જ સીધો મોક્ષ મળે ! અત્યારે આ કાળમાં અહીં ભરતક્ષેત્રથી સીધો મોક્ષ નથી ! ‘દાદા ભગવાન’ એટલે મહીં પ્રગટ થયા છે, ચૌદ લોકના નાથ તે છે ! ચાર ડિગ્રી ખૂટે છે તેથી દાદાશ્રી પણ મહીંલા દાદા ભગવાનની ભક્તિ કરતા અને સીમંધર સ્વામી પાસે અમારે પણ જવાની જરૂર છે. માટે સીમંધર સ્વામીની ભક્તિ કરતા ને કરાવતા. આમ તો દાદાશ્રી મુક્ત જ હતા પણ સીમંધર સ્વામી પૂર્ણ મુક્તિ ! ચૌદશ અને પૂનમમાં ફેર તેવું ! દાદાશ્રી કહે, આપણા આ મહાત્માને ચા-પાણી નાસ્તા કરાવો. એમને સંતોષ આપવો એ સારામાં સારો રસ્તો. આવા મહાત્મા વર્લ્ડમાં મળશે નહીં ! આ મહાત્માઓ તો જીવતા જાગતા દેવ છે ! આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતા નથી.’ ‘આ મહાત્માઓ તદ્દન સાચા છે તેની ગેરંટી આપું છું. ભલે ગમે તેવા હશે, પૈસે ટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ ! ભાવનાય બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ ! અક્રમ માર્ગમાં અહીં હરીફાઈ ના હોય. અહીં બોલી બોલવાની કે ઘી બોલવાનું કે ચઢાવો એવું કશું ના હોય ! હરીફાઈ તો દુષમકાળનાં લક્ષણો બધાં ! અહીં તો દીવા બળે સહુસહુનાં ઘરના ! દાદાશ્રી ઠોકી ઠોકીને કહેતા કે આપણે અહીં પૈસાની માંગણી ના હોય. રાજીખુશીથી એની મેળે આપે તે જ ઉત્તમ. જે કંઈ ખર્ચ થાય પુસ્તકો પાછળ કે દેરાસર પાછળ, તે એને માટે નિમિત્ત પાછળ છે જ. એના માટે બૂમ પાડવાની કે ભીખ માગવાની ના હોય કે માઈકમાં બરાડા પાડીને પૈસાની માંગણી કરવાની ના હોય કે અક્રમ વિજ્ઞાનમાં પણ પૈસાની માંગણીની નોટિસ આપવાની ના હોય. પૂ. દાદાશ્રીની હાજરી (સ્થૂળ) હતી ત્યાં સુધી તેમને ક્યારેય અક્રમ વિજ્ઞાનમાં કે માઈકમાં જાહેરાત કરી પૈસાની ભીખ નથી માંગી ! ભૂલથી એકવાર એક કાર્યકર્તાએ માઈકમાં માગણી કરી, તેને તરત જ બોલાવીને કડક રીતે ખખડાવ્યો ને બધાના પૈસા પાછા અપાવડાવ્યા ! ધન્ય છે એવા એ જ્ઞાનીના લક્ષ્મી સંબંધના વ્યવહારને ! કોટી કોટી પ્રણામ છે એ જ્ઞાનીના જ્ઞાનને ! પુસ્તકો છપાવવાનો વ્યવહાર બતાવતા ગયા કે પ્રથમ આવૃત્તિ ફ્રી ઓફ કોસ્ટ આપવી અને પછી લોકો છપાવી લે એની મેળે ! આ જ્ઞાન ભૂંસાઈ ના જાય માટે છપાવી દેવાનું બધું ! પૈસા આવે કે તરત જ ખર્ચી નાખવાના, એનો બોજો ક્યાં સુધી ફેરવાય ? પુસ્તકની કિંમત શું ? ‘પરમ વિનય’ અને ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવ ! (૮) લક્ષ્મી અને ધર્મધર્મમાં સદુપયોગ થતો હોય ત્યાં દાન અપાય નહીં તો બીજે આપો. ખોટું નાણું દાન કરશો તો ખોટા રસ્તે જ જશે ! સાચું નાણું સાચા રસ્તે ! મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના ચાલે ! વિષયના વિચારો અને લક્ષ્મીના વિચારો ! અને સમ્યક્ દ્રષ્ટિ હોવી જોઈએ. કોઈનેય દુઃખ ના થાય એવો વ્યવહાર થાય, તેને વ્યવહાર ચારિત્ર કહ્યું. વ્યવહાર ચારિત્રમાંય લક્ષ્મી અને વિષય બંધ ઘટે ! સ્ત્રીનો વાંધો નથી, સ્ત્રીને ભોગનું સ્થાન મનાય છે તેનો વાંધો છે. ધર્મમાં ફી લે એટલે એ થઈ ગઈ રામલીલા ! કેટલાક ધર્મમાં ગુરુ-મહારાજો ભેટો લે. તે ભક્તો પાસેથી પૈસા-દાગીના લેવાય ? બાપજીની પધરામણી કરાવે, તેના ફરજિયાત પૈસા આપવા પડે ! પછી બાપજીની જેટલી વાહ-વાહ વધારે તેટલી તેમની ફી ઊંચી ! ગરીબને ત્યાં પધરામણી ના થાય. આ કળિયુગના ધર્મો તો જુઓ ! દાદાશ્રી પાસે આવું તેવું ના હોય ! અહીં તો કોઈનો ખોટો ગલ ના ગળે ! કોઈ ગમે તેટલી ગલીપચી કરે તોય એમની પાસે ચાલે નહીં ! કારણ કે જેને કશું જ ખપતું નથી ત્યાં કોનું ચાલે ! જે સ્વયં સમગ્ર બ્રહ્માંડના માલિક છે, તેને કોઈ શું આપે ને છેતરે ? ગુરુ શુદ્ધ ચારિત્રવાળા હોવા જોઈએ ! જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટી છે, માનની, કીર્તિની, લક્ષ્મીની, વિષયોની, શિષ્યોની સર્વ પ્રકારની ભીખ મટી છે, તેના હાથમાં આવે વિશ્વનાં તમામ સૂત્રો ! આજકાલ તો લોકોએ ધર્મમાં બીઝનેસ માંડ્યો ! કરોડો રૂપિયા ઉઘરાવે ને આશ્રમ બાંધે ! એક પૈસો પેઠો કે પછી એ ક્યાં સુધી પેસે એનું શું ઠેકાણું ? માટે કડક કાયદો હોવો ઘટે કે પૈસો પેસી જ ના શકે ! જ્યાં ધર્મમાં ફી છે ત્યાં ધર્મ જ નથી. તો ધર્મ ગરીબોથી પળાય જ શી રીતે ? ધર્મની ઠેરઠેર ભાતભાતની દુકાનો ખૂલી ગઈ ! એમને ઘરાકેય મળી આવે પાછા ! આમાં કોનો વાંક ? ઘરાકનો કે દુકાનદારનો ? ઘરાકે સમજીને પેસવું જોઈએ દુકાનમાં ! દુકાન તો ખોલે એમાં એમની જવાબદારી પણ આપણે ચેતવું ના જોઈએ ? પૂજાવા માટે ધર્મગુરુઓએ વાડા ઊભા કર્યા. ઘરાક જ ના હોય તો દુકાનદારી શી રીતે ચાલે ? આજકાલ સંતોએ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું, લોકોને માન આપી પૈસા પડાવ્યા. દુઃખિયો હોય તેથી શાંતિ માટે સંત પાસે જાય, તે ઊલટાના પૈસા પડાવી લે ! હવે લેનારને ખબર નથી કે કંઈ નાદારીમાં ધકેલાઈ રહ્યો છે એ ! સિદ્ધિનો દુરુપયોગ થાય તો સિદ્ધિ ખલાસ થઈ જાય ! કોઈ દાદાશ્રી પાસે પૈસા મૂકે તો તેમને તે તરત પરત કરતા અને કાયમ કહેતા. ‘અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માગવાના હોય.’ એ તો બધાને કહેતા, તમારાં સર્વસ્વ દુઃખો મને સોંપીને જાવ. અમે બધાનાં દુઃખો લેવા આવ્યા છીએ ! કોઈ લાંચ આપવા આવે તો તેઓશ્રી કડક શબ્દોમાં કહેતા કે તારી લીંટ મને ચોપડવા આવ્યો છે ? મને ઘણીય લીંટ આવે છે તે હું કોને ચોપડવા જાઉં ? જેને લીંટ ના આવતી હોય ત્યાં જઈને ચોપડ ! આખા વર્લ્ડમાં આ દાદો એકલો જ સર્વસ્વ રીતે ચોખ્ખો છે, તેને ચોખ્ખો જ રહેવા દો ! દાદાને ચોખ્ખા રાખશો તો જગતને ખૂબ લાભ થશે ! જ્ઞાની પાસે પૈસાની કે કશાયની લેવડદેવડ ના હોય ! વેપારમાં ધર્મ ઘટે પણ ધર્મમાં વેપાર ના ઘટે ! ધર્મમાં વેપાર પેસે, તેને તો ઉચ્છેદિયું જશે ! ઉચ્છેદિયું શેનું ? છોકરાં એકલું નહીં પણ પથરાનો અવતાર. ડુંગર થઈને પડી રહેવું પડે, લાખો વર્ષ સુધી ! હજુ જાગો ! હવે ખૂબ સુંદર કાળ આવી રહ્યો છે ! મહાવીરના સમય જેવો ! માટે હજુ ચેતો ! આખી પરિણતિઓ ફેરવી નાખો ! હજુ હૃદયપૂર્વક પસ્તાવો કરો. પસ્તાવાનું જ સામાયિક કરો તો આ દેહે બધાં પાપો ભસ્મીભૂત થઈ શકશે ! પસ્તાવો શેનો કરવાનો ? ખોટા પૈસા લોકોના લીધા, વ્યભિચાર કર્યો, દ્રષ્ટિ બગાડી, તે બધાનાં મોઢાં યાદ કરીને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો ! જ્યારે પોતે પ્યૉર થશે ત્યારે લોકનું કલ્યાણ થશે ! પ્યૉરિટી જ આખા જગતનું આકર્ષણ કરે ! - ડૉ. નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ (પા.૧)(૧) લક્ષ્મીજીનું આવન-જાવનએકાગ્રતા શેમાં ?પ્રશ્નકર્તા : પ્રભુસ્મરણ કરીએ છીએ, પણ એકાગ્રતા મેળવવા માટે શું કરવું ? દાદાશ્રી : પ્રભુસ્મરણ કરતાં એકાગ્રતા નથી રહેતી ? પ્રશ્નકર્તા : બરાબર થતી નથી, એવું લાગે છે. દાદાશ્રી : બેન્કમાંથી પગાર લેવા જાવ છો ત્યારે ? રૂપિયા ગણતી વખતે એકાગ્રતા થાય છે કે નથી થતી ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : રૂપિયા-રૂપિયાની નોટો આપીને, દસ હજારની નોટો આપે, તો ગણો કે ના ગણો ? કે એમ ને એમ લઈ લો ? પ્રશ્નકર્તા : ગણવી પડેને ! દાદાશ્રી : તે ઘડીએ એકાગ્ર રહો ? પ્રશ્નકર્તા : હા. (પા.૨)દાદાશ્રી : એમાં એકાગ્રતા થાય છે તો પ્રભુમાં કેમ ના થાય ? પ્રશ્નકર્તા : એ ખબર નથી પડતીને ! દાદાશ્રી : ભગવાન ઉપર પ્રેમ ખરો ? પ્રશ્નકર્તા : ખરો. દાદાશ્રી : પૈસા જેટલો ? પ્રશ્નકર્તા : પૈસા જેટલો જ. દાદાશ્રી : અરે, પૈસા જેટલોય નહીં. જો પૈસા જેટલો પ્રેમ ભગવાન ઉપર રાખતા હોય ને તોય બહુ કલ્યાણ થઈ જાય. પેલું ગમે છે ને પ્રભુ ગમતા નથી. જ્યાં ગમે ત્યાં એકાગ્રતા થાય. તમને ગમતું થાય ત્યાં એકાગ્રતા થાય. ગમતું નથી એટલે પછી એકાગ્રતા કેમ થાય તે ? રૂપિયા ગણતા હોય ને તો છોકરું આવ્યું હોય તો એને જોયું-ના જોયું કરી નાખીએ, કારણ કે આપણે ભૂલી જઈએ, સાચી વાત કે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જો ત્યારે બધું ! પૈસામાં એકાગ્ર થયો. આમાં નથી થતો હજુ. પણ આ તો ભગવાન ઉપર જરાય રુચિ નથી. ગરજ હોય તેમાં...પૈસા ગણતી વખતે ધ્યાન આઘુંપાછું ના થાય, એવું ધ્યાન રહેવું જોઈએ. ધ્યાન શાથી પૈસામાં રહે છે ને બીજામાં નથી રહેતું ? એનું કંઈ કારણ હશેને ? શું કારણ ? પ્રશ્નકર્તા : મોહમાયામાં ફસાયા છે ? દાદાશ્રી : જે કામમાં લાગવાનું છે ને તેમાં ધ્યાન રહે, ભગવાન શું કામમાં લાગવાનો છે ? કામમાં લાગવાના હોય તેમાં ધ્યાન રહે કે ના રહે ? પૈસા કામમાં લાગવાના છે. કાલે સવારે તેલ લાવવાનું છે, ઘી લાવવાનું છે, ફલાણું લાવવું પડે અને ભગવાન શું કામમાં લાગવાના ? (પા.૩)ભગવાન કામમાં લાગવાના નહીં એટલે ધ્યાન ના રહે. જ્યારે એવી ગરજ ફૂટે, ભગવાનમાં જ ગરજ આવે ત્યારે ધ્યાન રહે. ગરજ નથી લાગી, ગરજ પૈસામાં છે. પ્રીતિ, લક્ષ્મીની કે નારાયણની ?આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે ને ! હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે એટલે લક્ષ્મી ઉપર જ વધારે પ્રીતિ છે. લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી જોડે ને કાં તો નારાયણ જોડે. તમને ઠીક લાગે ત્યાં રહો. લક્ષ્મી રંડાપો આપશે. મંડાવે તે રંડાવે પણ ખરું ! ને નારાયણ મંડાવે નહીં ને રંડાવે પણ નહીં; નિરંતર આનંદમાં રાખે, મુક્તભાવમાં રાખે. જ્ઞાની પુરુષ પાસે એક વખત દૂંટીએથી હસ્યા ત્યારથી જ મહીં ભગવાન જોડે તાર જોઈન્ટ થઈ ગયો. કારણ કે તમારી મહીં ભગવાન બેઠેલા છે. પણ અમારી મહીં ભગવાન સંપૂર્ણ વ્યક્ત થયા છે, જ્યારે તમારામાં વ્યક્ત નથી થયા, બસ એટલું જ છે. પણ શી રીતે વ્યક્ત થાય ? જ્યાં સુધી ભગવાનની સન્મુખ થયા નથી ત્યાં સુધી શી રીતે વ્યક્ત થાય ? તમે ભગવાનની સન્મુખ થયા હતા કોઈ દહાડોય ? પ્રશ્નકર્તા : આમ તો અમે લક્ષ્મીની સન્મુખ થયા છીએ. દાદાશ્રી : એ તો આખું જગતેય લક્ષ્મીની સન્મુખ થયું છે ને ? અને તમે શેઠ લક્ષ્મીની સન્મુખ થયા છો કે વિમુખ ? પ્રશ્નકર્તા : હું તો એનાથી ઉદાસીન છું. દાદાશ્રી : એમ ? એટલે તમે સન્મુખેય નહીં ને વિમુખેય નહીં એવી રીતે ? ઉદાસીન એ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. લક્ષ્મી આવે તોય ભલે ને ન આવે તોય ભલે ને ?! કિંમત કોની વધુ ?પરાણે ભગવાનની જોડે પ્રીતિ કરવા જઈએ એમાં શું વળે ? અને (પા.૪)રૂપિયા જોડે જુઓને, કોઈ કહેતું નથી, તોયે એકાગ્ર એટલો કે કશું તે ઘડીએ બૈરી-છોકરાં બધું ભૂલી જાય ! લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં ? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભુલાડી દે એવી ! લક્ષ્મી, સોનું બધું એમાં એકમાં જ આવી ગયું. બીજી કોઈ એવી ચીજ છે, બધું ભુલાડી દે એવી ? એકાગ્ર કરાવડાવે એવી ? પ્રશ્નકર્તા : ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : નહીં ? સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભુલાડે. ભગવાન તો યાદ જ ના આવવા દે. આ જે તમને થોડા યાદ આવે છે, પણ એકાગ્રતા થાય કેવી રીતે ? ભગવાન ઉપર ભાવ જ નથી ને ! જ્યાં રુચિ ત્યાં એકાગ્રતા. કાયદો કેવો ? રુચિ ત્યાં એકાગ્રતા. રુચિ ના હોય તો એકાગ્રતા કેમ થાય ? માટે પ્રીતિ પૈસા ઉપર છે. જ્યાં પ્રીતિ હોય ત્યાં એકાગ્રતા રહે જ. ભગવાન ઉપર પ્રીતિ નથી. એટલી જ પ્રીતિ જો ભગવાન ઉપર થાય તો તેમાં એકાગ્રતા રહે. પ્રશ્નકર્તા : તો પૈસા ઉપરની પ્રીતિ હટાવવી કેવી રીતે ? દાદાશ્રી : એ તો બેમાંથી કઈ કિંમત વધારે છે, એ કિંમત બધા લોકોને પૂછવી કે પૈસાની કિંમત વધારે છે કે ભગવાનની કિંમત વધારે છે ?! જેની કિંમત હોય ત્યાં પ્રીતિ કરો. અમારે પૈસાની જરૂર નહીં, કારણ કે અમારે ભગવાનની પ્રીતિ; ચોવીસેય કલાક ભગવાનની જોડે રહેવાનું. એટલે અમને પૈસાની પ્રીતિ ના હોય. લક્ષ્મી વિના ‘ગાડી’ ચાલે ?પ્રશ્નકર્તા : કોઈ માણસને જરૂરિયાત હોય એટલે પૈસાની પાછળ પડવું પડે છે ને ! દાદાશ્રી : પાછળ પડવાથી જો પૈસો થતો હોયને, તો આ મજૂરોને પૈસા પહેલાં મળે, કારણ કે આ તો પૈસા હારુ બાર કલાક પાછળ પડે છે. (પા.૫)પ્રશ્નકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે. છતાં પણ એના વગર ચાલતું નથીને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઈએ. દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી - ના મળવી એ પણ પોતાની સત્તાની વાત નથીને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી કરીને મરી જાય છે. છતાં માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે. લક્ષ્મી, અક્કલ કે મહેનતનું ઉપાર્જન ?વાત તો સમજવી પડશેને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહીં. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવવા માટે નથી. પૈસા શેનાથી કમાતા હશે ? મહેનતથી કમાતા હશે કે બુદ્ધિથી ? પ્રશ્નકર્તા : બંનેથી. દાદાશ્રી : જો પૈસા મહેનતથી કમાતા હોય તો આ મજૂરોની પાસે ઘણા બધા પૈસા હોય, કારણ કે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને ! અને પૈસા બુદ્ધિથી કમાતા હોય તો આ બધા પંડિતો છે જ ને ! પણ તે એમને તો એની પાછળ ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. પૈસા કમાવા એ બુદ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્ય કરેલી છે તેના ફળરૂપે તમને મળે છે અને ખોટ એ પાપ કરેલું તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ. અક્કલવાળા તો ભૂલેશ્વરમાં અર્ધા ચપ્પલ ઘસાયેલા બધા બહુ માણસો અક્કલવાળા છે. કોઈ માણસ મહિને પાંચસો કમાય છે, કોઈ સાતસો કમાય છે, કોઈ અગિયારસો કમાય છે. કૂદાકૂદ કરી મેલે છે કે ‘અગિયારસો કમાઉં છું’ કહે છે ! અરે પણ તારું ચંપલ તો અર્ધું ને અર્ધું જ છે. જો અક્કલનાં કારખાનાં ! એ કમઅક્કલના બહુ કમાય છે. અક્કલવાળો પાસા નાખે તો છત્તા પડે કે મૂરખ માણસના પાસા છત્તા પડે ? (પા.૬)પ્રશ્નકર્તા : જેની પુણ્ય એના છત્તા પડે. દાદાશ્રી : બસ, એમાં તો અક્કલ ચાલે જ નહીં ને ! અક્કલવાળાનું તો ઊલટું ઊંધું થાય. અક્કલ તો એને દુઃખમાં હેલ્પ કરે છે. દુઃખમાં કેમ કરીને સમોવડિયું કરી લેવું, એવી એને હેલ્પ કરે છે. ... કે પુણ્યનું ઉપાર્જન ?આ મોટા મોટા ચક્રવર્તી રાજાઓ હતા તેમને આ દહાડો છે કે રાત છે, તેની ખબર ન હતી. તેય સૂર્યનારાયણેય ના જોયો હોય તોય મોટું રાજ કરતા’તા, કારણ કે પુણ્ય કામ કરે છે. પ્રશ્નકર્તા : શાલિભદ્ર શેઠને પેટીઓ આવતી હતી ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ શાલિભદ્રને કહે છે કે ઉપરથી દેવો સોનામહોરની પેટીઓ રોજ આપતા હતા તો એ સાચું ? દાદાશ્રી : આપે, બધું આપે. એનું પુણ્ય હોય ત્યાં સુધી શું ના આપે ? પુણ્ય હોય ત્યારે શું ના આપે ? અને દેવ જોડે ઋણાનુબંધ હોય, એમનાં સગાંવહાલાં ત્યાં ગયાં હોય ને પુણ્ય હોય તો એમને શું ના આપે ? કોણ, કોની પાછળ ?લક્ષ્મીજી તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે, ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્ય વગર લક્ષ્મી ના મળે. એટલે ખરી હકીકત શું કહે છે કે તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયાં શું કરવા મારે છે ? પુણ્યશાળી તો કેવો હોય ? આ અમલદારોય ઓફિસેથી અકળાઈને (પા.૭)ઘેર પાછા આવેને, ત્યારે બાઈસાહેબ શું કહેશે, ‘દોઢ કલાક લેટ થયા, ક્યાં ગયા હતા ?’ આ જુઓ પુણ્યશાળી (!) પુણ્યશાળીને આવું હોતું હશે ? પુણ્યશાળીને એક અવળો પવન ના વાગે. નાનપણમાંથી જ એ ક્વૉલિટી જુદી હોય. અપમાનનો જોગ ખાધેલો ના હોય. જ્યાં જાઓ ત્યાં ‘આવો આવો ભાઈ’ એવી રીતે ઊછરેલા હોય અને આ તો જ્યાં ને ત્યાં અથડાયો ને અથડાયો. એનો અર્થ શું છે તે ? પાછું પુણ્ય ખલાસ થાયને એટલે હતા એના એ ! એટલે તું પુણ્યશાળી નથી તો આખી રાત પાટા બાંધીને ફરે, તોય સવારમાં કંઈ પચાસ મળી જાય ? માટે તરફડિયાં માર નહીં ને જે મળ્યું તેમાં ખા-પીને સૂઈ રહેને છાનોમાનો. પ્રશ્નકર્તા : એ તો પ્રારબ્ધવાદ થયો ને ! દાદાશ્રી : ના, પ્રારબ્ધવાદ નહીં. તું તારી મેળે કામ કર. મહેનત કરીને રોટલા ખા. બાકી બીજાં તરફડિયાં શું કરવા માર માર કરે છે ? આમથી ભેગા કરું ને તેમથી ભેગા કરું ! જો તને ઘરમાં માન નથી, બહાર માન નથી, તો શાનો તરફડિયાં મારે છે ? અને જ્યાં જાય ત્યાં એને ‘આવો બેસો’ કહેનાર હોય, એવી મોટામાં મોટી પુણ્ય લાવેલા હોય એની વાત જ જુદી હોય ને ? આ શેઠ આખી જિંદગીના પચ્ચીસ લાખ લઈને આવ્યા હોય, તે પચ્ચીસ લાખના બાવીસ લાખ કરે છે પણ વધારતા નથી. વધે ક્યારે ? હંમેશાય ધર્મમાં રહે તો. પણ જો પોતાની મહીં ડખો કરવા ગયો તો બગડ્યું. કુદરતમાં હાથ ઘાલવા ગયો કે બગડ્યું. લક્ષ્મી આવે છે, એને એ જાણે છે કે આ રેતીમાંથી લક્ષ્મી આવે છે. એટલે એ રેતીને પીલ પીલ કરે છે પણ કશું મળતું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે. ખાલી પુણ્યનું જ ફળ છે. મહેનતનું ફળ હોત ને તો તો બધી મજૂરોના હાથમાં જ ગઈ હોત અને અક્કલનું ફળ હોત ને, તો આ લોખંડના વેપારી જેવા કોઈ અક્કલવાળા નહીં, તો બધી લક્ષ્મી ત્યાં ગઈ હોત. પણ એવું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે. લક્ષ્મી તો પુણ્યની આવે છે. બુદ્ધિ વાપરવાથી નથી આવતી. આ મિલમાલિકો ન શેઠિયાઓમાં છાંટોય બુદ્ધિ ના હોય પણ લક્ષ્મી ઢગલાબંધ (પા.૮)આવતી હોય ને એમનો મુનીમ બુદ્ધિ વાપર વાપર કરે, ઈન્કમટેક્સની ઑફિસમાં જાય ત્યારે સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જ્યારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય. અક્કલવાળો, મુનીમ કે શેઠ ?લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રિકો વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોય તો આપણા પ્રધાનોને ચાર આનાય મળત નહીં. આ લક્ષ્મી તો પુણ્યની કમાય છે. ગાંડો હોય તોય પુણ્યથી કમાયા કરે. એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા, અમદાવાદમાં સ્તોને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી, એવો પલંગ, સામે ટિપોય ! અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઈન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર, જમીનની ઊંચે દોઢ ફૂટે માથું, મોઢાનો ત્રિકોણ આકાર અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરા જેવા એ બાજુમાં ફોન. તે ખાતાં ખાતાં ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે. ફોનની ઘંટડી વાગે ને શેઠ કહે કે ‘બે હજાર ગાંસડી લઈ લો’, ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઈ જાય. મુનીમજી બેઠા બેઠા માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખો તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્ય ક્યાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના. ના સમજીને ભજ્યા તેથી ! કોઈની ઉપર ઉપકાર કર્યા, કોઈનું ભલું કર્યું, એ બધાથી પુણ્ય બંધાઈ. ભગવાનને ના સમજીને ભજે છતાં, અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તોય દઝાય ને ? પાંસરી પરોક્ષ ભક્તિય પૈસો લાવે‘પ્રત્યક્ષ’ ના મળે ત્યાં સુધી ‘પરોક્ષ’ કરવું જોઈએ. પણ લોકોનો (પા.૯)‘પરોક્ષ’ની સાચી ભક્તિ મળતી નથી. જો પરોક્ષની સાચી ભક્તિ મળતી હોત ને તો ઘેર કશી અડચણ આવે નહીં. કોઈ દહાડોય એમ ના યાદ આવે કે મારે આ ખૂટી પડ્યું છે અને આ તો દસ દહાડા થાય કે ‘આજે ખાંડ નથી, ઘાસલેટ નથી, ફલાણું નથી, એવું સાંભળવું પડે. બાસમતી ચોખા થઈ રહ્યા છે, હવે પેલા જાડા ચોખા લઈ આવો. ત્યારે શું કરીશું ? એટલે પરોક્ષ ભક્તિ પણ સાચી કરી હોય ને, તો કશું ખૂટે નહીં. વિચારવું પણ ના પડે કે મારે આ જોઈએ છે. વિચાર્યા વગર વસ્તુ આપણી ઉપર આવીને પડે અને પરોક્ષ ભક્તિ ના કરી તેથી તેનું ફળ શું આવ્યું ? કે વસ્તુ લેવા જાય, દોડધામ કરી મેલે, તોય ભેગી થાય નહીં. મજૂરોની શી દશા ?કેટલાક મજૂરો આખો દહાડો મહેનત કરે, એ બિચારો સાંજના શેઠને કહેશે કે ‘શેઠ, મારે ઘેર કશું ખાવાનું નથી, એટલે મેં તમને કહ્યું કે સાંજે રોકડા પૈસા આપજો તો જ રહીશ.’ ત્યારે શેઠ કહેશે, ‘‘હા, ‘રોકડા આપીશ’ કહેલું. પણ અત્યારે તો મારી પાસે સોની નોટ છે. લાવ પંચાણું રૂપિયા, તારા પાંચ લઈ લે, નહીં તો જવું હોય તો જા ને રહેવું હોય તો રહે. નાલાયક છે શું ?’’ એમ બે ગાળો ખાઈને બિચારાને પૈસા વગર ઘેર જવું પડે, શું કરે બિચારો ? મજૂર છે ને ? ત્યારે શેઠનો તો શો દોષ છે ? અત્યારે ભોગવે છે તેનો દોષ છે. શેઠ પાંચ રૂપિયા નથી આપતા પણ ઉપરથી ટૈડકાવે છે. ગાળો દે છે, એમાં કોને ભોગવવું પડ્યું ? મજૂરને. તો મજૂરની ભૂલ છે, અને શેઠને એ ફળ આપશે ત્યારે શેઠની ભૂલ હશે. મજૂરને ટૈડકાવ્યો, ગાળો દીધી, દુઃખ દીધું, એનું ફળ એને આવશે. પેલાને તો એની ભૂલનું ફળ પાક્યું ને અત્યારે મળી ગયું, શેઠનું તો બંધાયું, તેનું ફળ ઉત્પન્ન થશે, પાકશે પછી વારો આવશે. ત્યાં સુધી શેઠનું તો ચાલ્યું. સાધ્યો સહકાર, સર્વન્ટ સાથે ?ત્યાં કેવી લાગણી આપણે રાખવી જોઈએ ? કે ધર્મ જેવી વસ્તુ આપણે સમજતા હોઈએ તો આપણી પાસે સોની નોટ હોય તો ગમે ત્યાંથી છૂટા લાવીને પેલાને પાંચ રૂપિયા આપી દેવા જોઈએ. પેલો (પા.૧૦)બિચારો પાંચ રૂપિયા માટે આખો દહાડો મહેનત કરે અને એના આવતાં પહેલાં આપણે બેસી રહેવું જોઈએ કે એ ક્યારે આવે ને ક્યારે એની મજૂરી લઈ જાય. એના આવતાં પહેલાં કહીએ કે લે ભાઈ, તારા પાંચ રૂપિયા ! એક મિનિટેય મોડું ના કરાય. કારણ કે એને તો હજુ મરચું લેવાનું હોય, આમલી લેવાની હોય, બીજું શું શું લેવાનું ના હોય ? પાછી તેલની શીશી લાવેલો હોય, તેમાં થોડું તેલ લઈ જાય, એવું બધું લઈને ઘેર જાય ત્યાર પછી જમવાનું બનાવે. અમારે તો કામ પર મજૂરો હોય તે અમે આવું બધું જાણીએ. તે અમારો કાયદો એવો કે મજૂરના પૈસામાં કશું આઘુંપાછું થઈ ગયું હોય તો ખબર લઈ નાખું. બધું કડક ખાતું. એમને બિચારાને તો મહાદુઃખ, તે એમને વધારે મુશ્કેલીમાં આપણાથી કેમ કરીને મુકાય ? પ્રકારો પુણ્યનાપુણ્યશાળીઓને ઓછી મહેનતે બધું ફળે. એટલે સુધી પુણ્ય થઈ શકે છે. સહજ વિચાર્યું, કશું આઘાપાછા ના થયા તો બધી વસ્તુઓ વિચાર પ્રમાણે મળી આવે એ સહજ પ્રયત્ન. પ્રયત્ન નિમિત્ત છે, પણ સહજ પ્રયત્ન એટલે એને પુરુષાર્થ કહેવો, એ બધી વ્યાખ્યા બધી ભૂલભરેલી છે. લક્ષ્મી એટલે પુણ્યશાળી લોકોનું કામ છે. પુણ્યનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્ય કહેવાય પેલા કરતાં, અને એથી આગળનું શું ? વાણીનીયે માથાકૂટ કરવી ના પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથીયે આગળ કયું ? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન. એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઈ જાય. એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકેય મહેનત કંઈક જોઈએ. પ્રશ્નકર્તા : પણ એ મનુષ્યમાં એમ ન થઈ શકે. (પા.૧૧)દાદાશ્રી : મનુષ્યમાં હઉ થાય. કેમ ના થાય ? મનુષ્યમાં તો જોઈએ એટલું થાય. પ્રશ્નકર્તા : એ તો એમ કહેલું કે દેવલોકમાં એમ થાય ? દાદાશ્રી : દેવલોકનું બધું સિદ્ધ થાય પણ અહીંયાય કોઈ કોઈ સંકલ્પસિદ્ધિથી થઈ જાય, બધું થાય, આપણું પુણ્ય જોઈએ. અત્યારે પુણ્ય નથી. પુણ્ય ખૂટી પડ્યાં છે. જેટલી મહેનત એટલો અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી પડે છે ! દુઃખ કોને કહેવાય ?સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ ભોગવતાં આવડવું જોઈએ. આ જગતમાં તો ભગવાને કહ્યું કે જેટલી આવશ્યક ચીજ છે એમાં જો તને કમી થાય તો દુઃખ લાગે, સ્વાભાવિક રીતે. અત્યારે હવા જ બંધ થઈ ગઈ હોય અને શ્વાસોશ્વાસ અને ગૂંગળામણ થતી હોય તો આપણે કહીએ કે દુઃખ છે આ લોકોને. શ્વાસોશ્વાસ ને ગૂંગળામણ થાય એવું વાતાવરણ થયું હોય તો દુઃખ કહેવાય. બપોર થાય. બે-ત્રણ વાગતાં સુધી ખાવાનું ના થાય તો આપણે જાણીએ કે આને દુઃખ છે કંઈક. જેના વગર શરીર જીવે નહીં એવી આવશ્યક ચીજો, એ ના મળે તો એને દુઃખ કહેવાય. આ તો છે, ઢગલેબંધ છે, બળ્યું એને ભોગવતાંય નથી ને બીજી વાતમાં જ પડ્યા છે. એક મિલમાલિક જમવા બેસે તો બત્રીસ ભાતની રસોઈ હોય, પણ એ મિલમાં મૂઓ હોય. શેઠાણી કહે કે ભજિયાં શાનાં બનાવ્યા છે ? ત્યારે કહે, મને ખબર નથી, તારે પૂછ પૂછ ના કરવું. એવું બધું છે આ. લક્ષ્મીવાન અંતે, તો...લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય. આમની પાસે લક્ષ્મી વધુ છે, પણ જોડે જોડે આ દાનેશ્વરી છે, એટલે સારું છે. નહીં તો મજૂર જ કહેવાયને ! એ આખો દહાડો વૈતરું કર્યા જ કરતો હોય, એને બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય, કોઈનીય ના પડેલી હોય, (પા.૧૨)લક્ષ્મી એકલાની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી પેલી તિર્યંચ ગતિમાં લઈ જાય, કારણ કે પાપાનુબંધી પુણ્ય છે ને. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તો વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા કરે. દાનેશ્વરી છે એટલે આ ફાવ્યા, નહીં તો ભગવાનને ત્યાં આ પણ મજૂર જ ગણાત. વાપરે એનું નાણુંઆ જગત તો એવું છે. એમાં ભોગવનારાય હોય ને મહેનત કરનારાય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારા એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનારામાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલા મહેનત કરનારાને અહંકારનો ગર્વરસ મળે. એક શેઠ મને કહે, ‘આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.’ મેં કહ્યું, ‘કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્ય ભોગવતો હોય, એમાં આપણે શું કરવા ડખો કરીએ ?’ ત્યારે એ મને કહે કે, ‘એમને ડાહ્યા નથી કરવા ?’ મેં કહ્યું, ‘જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક, શેઠ આવ્યા, શેઠ આવ્યા, કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું. લક્ષ્મીના જાપ જપાય ?અત્યારે છે એ તો લક્ષ્મી જ ના કહેવાય. આ તો પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી. તે પુણ્ય એવાં બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલાં તેનું પુણ્ય બંધાયેલું. તેનું ફળ આવ્યું, તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી માણસને ગાંડો-ઘેલો બનાવી દે. આને સુખ જ કેમ કરીને કહેવાય તે ? સુખ તો પૈસાનો વિચાર ના આવે તેનું નામ સુખ. અમને તો વર્ષમાં એકાદ દિવસ વિચાર (પા.૧૩)આવે કે ગજવામાં પૈસા છે કે નહીં. પ્રશ્નકર્તા : બોજારૂપ લાગે ? દાદાશ્રી : ના, બોજો તો અમને હોય જ નહીં. પણ અમને એ વિચાર જ ના હોય ને ! શેને માટે વિચાર કરવાના ? બધું આગળ-પાછળ તૈયાર જ હોય છે. જેમ ખાવા-પીવાનું તમારા ટેબલ પર આવે છે કે નથી આવતું ? કે સવારથી વિચાર લઈને બેસો છો ? માળા ફેરવ ફેરવ કરો છો ? કે ‘ખાવાનું થશે કે નહીં થાય ? ખાવાનું મળશે કે નહીં મળે ?’ એવું કર્યા કરો છો ? આ ખાવા માટે જાપ નથી કરવો પડતો ? કે સવારના પહોરમાં ઊઠીને જાપ કરો છો ? પ્રશ્નકર્તા : કો’કને જાપ થતો પણ હોય. દાદાશ્રી : કો’કની શું કામ ભાંજગડ કરો છો ? તમને કોઈ દહાડો થયેલો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ નાહવાનું પાણી ગરમ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, એ રાતના વિચાર કરીએ, સવાર સુધી, તો એ જાપ કરવાની જરૂર પડે છે ? તોય સવારના ગરમ પાણી નાહવા માટે મળે છે કે નથી મળતું ? પ્રશ્નકર્તા : મળે છે. દાદાશ્રી : એવું છે, જે નેસેસિટી છે, એ નેસેસિટી એના ટાઈમે આવે જ છે. એનું ધ્યાન કરવાની જરૂર નથી. તેથી તો કહ્યું છે ને, લક્ષ્મી એ તો હાથનો મેલ છે. જેમ પરસેવો આવ્યા વગર રહેતો નથી, તેમ લક્ષ્મી આવ્યા વગર રહેતી નથી. કોઈને વધારે પરસેવો આવે, કોઈને ઓછો પરસેવો આવે, એવું કોઈને લક્ષ્મી વધારે આવે ને કોઈને ઓછી લક્ષ્મી આવે. વાત તો સમજવી પડશે ને ? એવો નિયમ, ‘વ્યવસ્થિત’નોભગવાન શું કહે છે કે, તારું ધન હશે ને, તો તું ઝાડ રોપવા જઈશ (પા.૧૪)અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરૂર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી. આ મોક્ષ પણ મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસે બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાક્યા હોય કે ના પાક્યા હોય, છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહીં ? ‘વ્યવસ્થિત’નો નિયમ જ એવો છે ! સાચી લક્ષ્મી ક્યાં આવે ?દુનિયાનો કાયદો એવો છે કે, હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરના માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય અને બરકતવાળો હોય તેને રૂપિયા ના આવવા દે. એટલે આ તો બરકત વગરના માણસોને લક્ષ્મી ભેગી થઈ છે ને ટેબલ ઉપર જમવાનું મળે છે. ફક્ત કેમ ખાવું-પીવું એ નથી આવડતું. આ કાળના જીવો ભોળા કહેવાય. કોઈ લઈ ગયું તોય કશું નહીં. ઊંચી નાત, નીચી નાત, કશી પડેલી નહીં. એવા ભોળા એટલે લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગ્રત હોય તેને જ ના આવે. બહુ જાગ્રત હોય એ બહુ કષાય કર્યા કરે. આખો દહાડો કષાય કર્યા કરે. આ તો જાગ્રત નહીં, કષાય જ નહીં ને, કોઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ્મી આવે ત્યાં, પણ વાપરતાં ના આવડે. બેભાનપણામાં જતી રહે બધી. ફોરેનવાળા જેવા ભોળા થઈ ગયા છે આપણા લોકો. તેથી લક્ષ્મી આવે. આ સાચી લક્ષ્મી નથી આવતી. ભોળાની લક્ષ્મી ! સાચી લક્ષ્મીવાળો તો જાગૃતિમાં રહે અને દિલદાર ભોળો હોય. એ ભોળો જાણીને જવા દે બધું. એ લક્ષ્મી છે તે પુણ્યાનુબંધી પુણ્યની હોય અને આમને તો ભાન જ નથીને ! આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી. શાંતિ ઘડીવાર ના આપે અને મૂર્ચ્છિત જ હોય આખો દહાડો. લક્ષ્મી છતાં અશાંતિ શાને ?આ નાણું જે છે ને અત્યારે, આ નાણું બધું જ ખોટું છે. બહુ જૂજ, થોડું સાચું નાણું છે. બે જાતની પુણ્ય હોય છે. એક પાપાનુબંધી પુણ્ય કે જે અધોગતિમાં લઈ જાય, એ પુણ્ય અને જે ઊર્ધ્વગતિમાં લઈ જાય એ (પા.૧૫)પુણ્યાનુબંધી પુણ્ય. તે એવું નાણું બહુ ઓછું રહ્યું છે. અત્યારે આ રૂપિયા જે બહાર બધે દેખાય છે ને, તે પાપાનુબંધી પુણ્યના રૂપિયા છે. અને એ તો નર્યાં કર્મ બાંધે છે અને ભયંકર અધોગતિમાં જઈ રહ્યા છે. પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય ? નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, ત્યાં ધર્મ હોય. આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યની છે, એટલે તે ક્લેશ કરાવે એવી છે, એના કરતાં ઓછી આવે તે સારું. ઘરમાં ક્લેશ તો ના પેસે. આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઈ જાય છે. એક ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાને ધર્મના ને ધર્મના જ વિચારો રહ્યા કરે. આવતી લક્ષ્મીમાં પોતે હક્કદાર કેટલો ?અને આ તો દુષમકાળ, તો આ દુઃખ-મુખ્ય કાળમાં જીવો કેવા હોય તે ? કકળાટવાળા, આખો દહાડો કકળાટ, કકળાટ, કકળાટ. અંતરશાંતિ ના રહે. રૂપિયાથી કોઈ શાંતિ થાય નહીં. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું, ‘ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?’ ત્યારે એ બેન કહે, ‘રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !’ મેં કહ્યું, ‘ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યાં, નહીં ?’ બેન કહે, ‘ના તોય કાઢવાનાં, પાઉંને માખણ ચોપડતાં જવાનું.’ તે ક્લેશેય ચાલુ ને નાસ્તાય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાંઓ છે ! પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ? દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી (પા.૧૬)પેસવા નથી દીધી. તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધામાં લાખ રૂપિયા કમાય પણ આ ‘પટેલ’ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્સવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, ‘પેલી રકમ હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ‘ઈન્મકટેક્સવાળાનો એટેક’ આવ્યો તો આપણે મહીં પેલો ‘એટેક’ આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. સુગંધી સહિતના લક્ષ્મીવાનલક્ષ્મીજી હમેશાં સુગંધ સહિતની હોય તો ભગવાને પણ તેનો સ્વીકાર કર્યો છે. મુંબઈમાં આટલા લક્ષ્મીવાન છે પણ સુગંધ આવી કોઈનીય ? પ્રશ્નકર્તા : કોઈક તો હશે ને ? દાદાશ્રી : ‘હશે’ એવું બોલવું બહુ જ જોખમકારક છે. કાં તો ‘ના’ બોલો ને કાં તો ‘છે’ બોલો. ‘હશે’ એવું પોલું બોલવું એ ભયંકર જોખમ છે. પોલને લઈને તો જગત આવું રહ્યું છે. ‘જેમ છે તેમ’ બોલો ને તપાસ તો કરો, ને કહી દો કે ભાઈ, મારી તપાસમાં અત્યાર સુધી કોઈ નથી આવ્યો. આપણને કહેવાનો રાઈટ કેટલો ? કે આજ સુધી મારી જિંદગીમાં ફર્યો પણ મને હજુ કોઈ એવા મળ્યા નથી. બાકી સુગંધી સહિતની લક્ષ્મી હોય નહીં. અત્યારે આ કાળમાં હોય તો બહુ જૂજ હોય, કો’ક જગ્યાએ હોય. (પા.૧૭)સુગંધ સહિતની લક્ષ્મીપ્રશ્નકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી, એ કેવી લક્ષ્મી હોય ? દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજેય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોય ને તો આપણને સહેજેય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે, તોય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી, અને એને પૈસા કમાવાનો વિચાર જ ના આવે એવું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય, તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, ‘કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું’ એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો, સહજભાવે આવ્યા કરે, પોતે એમ કહે કે, ‘હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન હો’ છતાંય એ આવ્યા જ કરે. શું કહે કે આત્મલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ને પણ ના હો. તોય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. એને લક્ષ્મી તો ઢગલાબંધ આવે, આવવાની કમી ના હોય. વિચાર જ કોઈ દહાડો ના કર્યો હોય ને ઊલટા કંટાળી ગયેલા હોય કે હવે જરા ઓછું આવે તો સારું પણ તોય લક્ષ્મી આવે. તે લક્ષ્મી આવે એનો નિવેડો તો લાવવો પડે ને ? એટલે શું કરવું પડે ? હવે નિવેડો લાવવામાં બહુ મહેનત પડી જાય. એ કંઈ ઓછી રસ્તામાં નાખી દેવાય ? હવે એ નિવેડો કેવો હોય કે એનાથી લક્ષ્મી પાછી આવીને એવી જાય ને પાછી ફરી ઊગી ઊગીને આવે પાછી. ખપે રાજલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી ?આ બધું ડિસ્ચાર્જ છે, થઈ ગયેલું છે. એને હવે તું શું કરવાનો છે ? આ તને ઑર્ડર મળે છે તે બધું પુણ્ય છે. અને ઑર્ડર ના મળે એ તો પાપનો ઉદય હોય તો જ ઑર્ડર ના મળે. હવે આમાં પાછું કાવતરાં કરે, જે મળવાનું જ છે, તેમાં કાવતરાં કરે, ટ્રિકો અજમાવે. ટ્રિકો અજમાવે કે (પા.૧૮)ના અજમાવે ? ભગવાનને કંઈ ટ્રિકો આવડતી હશે ? ભગવાને તો આ શું કહ્યું કે, ‘આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ના હો.’ કારણ કે રાજ જેવી સંપત્તિ હોય, એના માલિક થવા જાય તો પછી મોક્ષે શી રીતે જાય ? એટલે એ સંપત્તિ તો સ્વપ્ને પણ ના હો ! પ્રશ્નકર્તા : મોક્ષે કેમ ના જવા દે ? દાદાશ્રી : શી રીતે મોક્ષે જવા દે ? આ ચક્રવર્તીઓ બધું ચક્રવર્તી રાજ છોડીને જતા રહે ત્યારે મોક્ષે જવાય; નહીં તો ચિત્ત તો બધામાં ઘૂસેલું હોય. તે દહાડે કંઈ અક્રમ વિજ્ઞાન હતું ? ક્રમિક માર્ગ હતો. આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે નિરાંતે જ્ઞાનની ગોઠવણી કરીને સૂઈ જઈએ ને આખી રાત મહીં સમાધિ રહે. પ્રશ્નકર્તા : આપે કહેલું ને કે સારા કુટુંબમાં જન્મેલા હોય એટલે બધું લઈને જ આવ્યા હોય એટલે માથાકૂટ વધારે કરવા માટે રહી નહીં, એવું ખરું ને ? દાદાશ્રી : હા, બધું લઈને જ આવ્યો હોય પણ તે વ્યવહાર ચલાવવા પૂરતું, પોતાનું બધું ચાલે એટલું જ. બાકી કરોડાધિપતિ તો કોઈક જ થઈ જાય. પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજાઓ પણ છેલ્લે મોક્ષે જવાનું જ વધારે ઇમ્પોર્ટન્ટ ગણતા હતા ને ! અગત્યનું મોક્ષ જ છે. ચક્રવર્તીપણામાં સુખ નથીને ? દાદાશ્રી : અગત્યનો મોક્ષ છે એવું નથી, એ ચક્રવર્તીનું પદ એટલું બધું એમને કૈડે કે મનમાં થાય કે ક્યાંક નાસી જઉં હવે ? તેથી મોક્ષ સાંભરે. કેટલો બધો પુણ્યશાળી હોય તો ચક્રવર્તી થાય, પણ ભાવ તો મોક્ષે જવું એવો જ હોય. બાકી પુણ્ય તો બધી ભોગવવી જ પડેને ! ઇચ્છાઓ શેષની શેષ કેમ ?પ્રશ્નકર્તા : આટલા બધા ભવમાં આ બધું ભોગવ્યું, રાજેશ્રી થયા, છતાં ઇચ્છાઓ બાકી રહી જાય છે એનું કારણ શું હશે ? (પા.૧૯)દાદાશ્રી : કોઈ દહાડો ભોગવેલું છે ?(!) આ ખાલી દેખાય છે એટલું જ છે, જ્યારે સામે જોઈએ છીએ ત્યારે ભોગવાતું નથી. આપણને પાવાગઢ ક્યાં સુધી સારો લાગે ? કે આપણે નક્કી કર્યું, અમુક દહાડે પાવાગઢ જવું છે. ત્યારથી મહીં પાવાગઢને માટે બહુ આકર્ષણ રહ્યા કરે. પણ પાવાગઢ જઈએ ને જોઈએ એટલે આકર્ષણ તૂટી જાય. પ્રશ્નકર્તા : એટલે આપણને આ ટેસ્ટ હજુ થયો નથી ? આજે લક્ષ્મી ભોગવવાનો કે વિષય ભોગવવાનો ટેસ્ટ હજુ પૂરો થયો નથી ? એથી એના વિચારો આવે છે ? દાદાશ્રી : એવું છે, આ ગયા અવતારે શ્રીમંતનો અવતાર હોય, હવે શ્રીમંત એટલે સ્ત્રી, લક્ષ્મી બધું ત્યારે જ હોય, ત્યારે મનમાં કંટાળી ગયેલો હોય કે આના કરતાં ઓછી ઉપાધિ હોય ને જીવન સાદું હોય તો સારું. એટલે વિચારો બધા પાછા એવા હોય અને પાછો ગરીબીમાં જન્મ્યો હોય તો એને લક્ષ્મી ને વિષય ને એ બધું સાંભર્યા કરે એવો માલ ભર્યો હોય. હતો લક્ષ્મીનો બોજો ‘અમનેય’અમનેય નહોતું ગમતું સંસારમાં. મને તો, મારી વિગત જ કહું છું ને. મને પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તોય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તોય મહીં બોજો લાગે. લઈ જતાંય બોજો લાગે, લાવતાંય બોજો લાગે. દરેક બાબતમાં બોજો લાગે, આ જ્ઞાન થતાં પહેલાં. આયુષ્યનું એક્સ્ટેન્શન કરાવ્યું ?પ્રશ્નકર્તા : અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂબ્યા છીએ. દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ? એવું છે. પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એક્સ્ટેન્શન કરી આપે છે. આયુષ્યમાં (પા.૨૦)એક્સ્ટેન્શન હોતું નથી ને ! તે પછી આપણે શું કરવા ઉપાધિ કરીએ ? સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આ તો એનું કંઈ ઠેકાણું નથી. પૈસો પ્રધાન કેમ ?પ્રશ્નકર્તા : અત્યારે પૈસો પ્રધાનપણે છે એ કેમ ? દાદાશ્રી : માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને કે પૈસાથી વિષયો મળશે, બીજુંય મળશે. પણ એનોય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યાં કરે છે. કરો છો કે ઈટ હેપન્સ ?પ્રશ્નકર્તા : અમુક પ્રકારના લોકો પૈસા કમાઈને સિક્યોરિટી મેળવવા વ્યસ્ત હોય છે, અને બીજા પ્રકારના લોકો સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, આત્મદ્રષ્ટિ મેળવવાની સિક્યોરિટીમાં રત હોય છે. તો સાધકે જ્ઞાન સમજવા માટે શું સાચો વ્યવસાય કરવો જોઈએ ? જ્ઞાનની પ્રગતિ માટે શું કરવું ? દાદાશ્રી : તો તો તમારે જાણવું જોઈએ કે પૈસા ખરેખર તમે કમાવ છો કે ઇટ હેપન્સ છે ! એ તમારે જાણવું જોઈએ પહેલેથી ! આ બધું તમે કરો છો કે કોઈ કરાવડાવે છે ? તમને કેવું લાગે છે ? પ્રશ્નકર્તા : બધું આપણે જ કરીએ છીએ ને ! કોઈ કરાવતું નથી. દાદાશ્રી : ના, આ કોઈક કરાવડાવે છે અને તમારા મનમાં ભ્રાંતિ છે કે હું કરું છું. આ તો રૂપિયા કોઈકને આપો છો, એ પણ કોઈક કરાવડાવે છે અને નથી આપતા તે પણ કોઈક કરાવડાવે છે. બિઝનેસ છે તે પણ કોઈક કરાવડાવે છે. ખોટ જાય છે તે પણ કોઈક કરાવડાવે છે, નફો આવે છે તે પણ કોઈક કરાવડાવે છે. તમને એમ લાગે છે કે ‘હું કરું છું’ એ ઈગોઈઝમ છે. એ કોઈ કરાવે છે એ ઓળખવું પડશે ને ? અમે એ ઓળખાણ કરાવી આપીએ છીએ. જ્ઞાન આપીએ છીએ ત્યારે (પા.૨૧)બધી સમજણ પાડીએ છીએ કે કરે છે કોણ ? એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તોય કશું વળે નહીં. એક માણસે પૂછ્યું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાકને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય, કેટલાકને આખી રાત પાસાં ઘસે તોય ઊંઘ ના આવે અને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર ? એ તો નૈમિત્તિક છેએટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ ‘ઈટ હેપન્સ’ છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી. આ તો મનમાં એમ માની બેઠા કે ના, હું ના હોઉં તો ચાલે જ નહીં. આ કોર્ટો બંધ થઈ જાય એવું માની બેઠા છો. એટલે એવું કશું નથી. સંજોગો જ કમાઈ આપેઆ લક્ષ્મી ભેગી થવી તેય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉક્ટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝયો હોયને, તે ડૉક્ટરને કહીએ કે આવડાં આવડાં મોટા ઓપરેશનો કર્યાં તો આ ગળફો કાઢી નાખને. ત્યારે કહે, ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે. એટલે આમાં આટલુંય ચાલે નહીં. એવિડન્સ ભેગા થયા, બધા ! હું જ્ઞાની બન્યો એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે. આ લોકો કરોડાધિપતિયે જાતે નથી બન્યા. પણ એ મનમાં માને (પા.૨૨)છે કે ‘હું બન્યો’, એટલી જ ભ્રાંતિ છે, અને જ્ઞાની પુરુષને ભ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો ને એવું થઈ ગયું. પેલો માને છે કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ સ્ત્રીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠાં છો કે ‘ના, હું કરું છું’ એટલું જ છે. ઈગોઈઝમ છે અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ, એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય. સુખ શેમાં ?એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે, આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે. તમને એક કરોડ રૂપિયા આપે તો તમે શું કરો ? પ્રશ્નકર્તા : એ ય પાછી ઉપાધિ છે ને ? દાદાશ્રી : આપે તો શું કરો ? આપણે કહીએ, તમને ઉપાધિ છે, તે મને શું કરવા આપો છો ? તમારી ઉપાધિ હું ક્યાં રાખું ? તમે પાછી લઈ જાવ ! અને આ પૈસાથી કેટલો આનંદ થાય છે ! તમને પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે પહેલાં તો તમને એ જોઈને બહુ આનંદ થાય. પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું ? કઈ બેન્કમાં મૂકીશું ? પછી રસ્તામાં કોઈ લૂંટી ના જાય એટલા માટે તૈયારીઓ રાખવી પડે અને રસ્તામાં કોઈ લઈ લે તો ? એટલે એ બધું સુખ જ ના કહેવાય. લૂંટવાનો ભો છે ને લૂંટાઈ જઈએ એ વસ્તુમાં સુખ જ ના કહેવાય. જગતની બધી વસ્તુઓ અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું (પા.૨૩)સ્વરૂપ, ત્યાં દુઃખ જ ના હોય. જગતના તો પૈસા આપતો હોય તેય અપ્રિય થાય. ક્યાં મૂકવા પાછા, ઉપાધિ થઈ પડે. જ્યાં જ્યાં નજર કરે, ત્યાં ત્યાં દુઃખએટલે પૈસા હોય તોય દુઃખ, ના પૈસા હોય તોય દુઃખ, મોટા પ્રધાન થયા તોય દુઃખ, ગરીબ હોય તોય દુઃખ. ભિખારી હોય તોય દુઃખ, રાંડેલીને દુઃખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ. દુઃખ, દુઃખ ને દુઃખ. અમદાવાદના શેઠિયાઓનેય દુઃખ. એનું શું કારણ હશે ? પ્રશ્નકર્તા : એને સંતોષ નથી. દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં તે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો કહેશે, હા મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે, તે દારૂને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો ! આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી. નાણાંનો બોજો રાખવા જેવું નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે. પોતાની પાસે મિલકત કેટલી ?માણસને શું દુઃખ હોય છે ? એક જણ મને કહે કે મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો. નાદાર થઈ ગયો. મેં પૂછ્યું, ‘દેવું કેટલું હતું ?’ તે કહે, ‘દેવું ન હતું.’ તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર-બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, ‘વાઈફ તો છે ને ?’ તે કહે કે વાઈફ કંઈ વેચાય ?’ મેં કહ્યું, ‘ના પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ? આ આંખો, આ હાથ, પગ, મગજ એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસોય ના હોય તોય તું કરોડાધિપતિ (પા.૨૪)છે. તારી કેટલી બધી મિલકત છે, તે વેચ જો, હેંડ. આ બે હાથેય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટંકે ખાવાનું મળવું જોઈએ. દુઃખ છે જ ક્યાં ?પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે ? દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં, એટલું જ જોઈ લેવાનું. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તે પછી એ દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ એટેક આવે. અજંપો રહે એને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી. દાદાનું નામ લે ત્યાં પૈસાના ઢગલાપ્રશ્નકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ? દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય. એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત - પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબળી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે. અત્યારે બહુ નબળી સ્થિતિ (પા.૨૫)છે ? શી શી અડચણ પડે છે ? પ્રશ્નકર્તા : કોઈ પણ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો વાર લાગે. દાદાશ્રી : ઓહો ! ઇચ્છિત વસ્તુ !! પણ આ શરીરને કઈ વસ્તુ જોઈએ છે તે તમે જાણો છો ? પ્રશ્નકર્તા : આમ તો ભગવાનની પ્રાપ્તિ જ મુખ્ય વસ્તુ છે. દાદાશ્રી : ભગવાનની પ્રાપ્તિ માટે આ શરીર છે પણ એને જરૂર શું શું છે ? રાતે આટલી ખીચડી આપી હોય તો તમને આખી રાત ધ્યાન ધરવા દે કે ના દે ? એટલે આ શરીર બીજું કંઈ માગતું નથી, બીજું બધું તો મનનાં તોફાન છે. બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું ? પ્રશ્નકર્તા : મળે છે. દાદાશ્રી : આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક- કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ? આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને ! બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! ‘દાદા ભગવાન’નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય ! પણ આ લોકો આવું નામ દે નહીંને, પાછા ઘેર જઈને ! એબોવ નોર્મલ, ત્યાં શું સુખ ?લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં દુઃખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાંય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછાં સગાં-વહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે, કહે કે અરે (પા.૨૬)યાર મારા પર આટલોય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઈએ છે, તે પછી નાછૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાંય દુઃખ થાય. લક્ષ્મી ભોગવતાં આવડી ?લક્ષ્મીને સાચવતાંય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાંય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મોંઘું ? આટલું મોંઘું લેવાય ? અલ્યા, છાનોમાનો ભોગવને ! પણ ભોગવતી વખતેય દુઃખ, કમાતાંય દુઃખ. લોકો હેરાન કરતા હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં એટલે કમાતાંય દુઃખ અને સાચવતાંય દુઃખ. સાચવ સાચવ કરીએ તોય બેન્કમાં રહે જ નહીં ને ! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન ! લક્ષ્મી જાય, ત્યારેય બહુ દુઃખ આપે. આ કેરી આટલી બધી મોંઘી તે લેવાતી હશે ? આ શાક આટલું બધું મોઘું કેમ લીધું ? અલ્યા, બધાયમાં તું મોઘું મોઘું બોલ બોલ કરે છે ? મોઘું કોને કહે છે તે ? તો સોંઘું કોને કહે છે ? આ તો એક જાતની કટેવ પડેલી હોય છે. એની દ્રષ્ટિ બેસી ગઈ હોય છે, એટલે શું થાય ? આપણે શું કહીએ છીએ કે જે આવ્યું, જે મોંઘા ભાવે આવ્યું એ બધું કરેક્ટ જ છે. વ્યવસ્થિત જ છે. પણ એને સમજાય નહીં ને ! એને પહેલાંની દ્રષ્ટિ બેસી ગયેલી, તે છૂટે નહીં ને ! લીધી રિટર્ન ટિકિટ, તીર્યંચનીકેટલાક તો ઈન્કમટેક્સ પચાવીને બેસી ગયેલા હોય છે. પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા દબાવીને બેઠા હોય છે. પણ એ જાણતા નથી કે બધા રૂપિયા જતા રહેશે. પછી ઈન્કમટેક્સવાળા નોટિસ આપશે ત્યારે રૂપિયા ક્યાંથી કાઢશે ? આ તો નરી ફસામણ છે. આ ઊંચે ચઢેલાને બહુ જોખમદારી, પણ એ જાણતો જ નથી ને ! ઊલટું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્સ બચાવું એ જ ધ્યાન. તેથી જ અમે કહીએ છીએ ને કે આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લાવ્યા છે. પાછું, આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના (પા.૨૭)ખૂણા તરફ જોતો નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મુકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા કહેવાઈએ. આર્ય પ્રજામાં આવું શોભે નહીં ! આર્ય પ્રજામાં ત્રણ વસ્તુ હોય, - આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર. તે અત્યારે ત્રણેય અનાડી થઈ ગયા છે, અને મનમાં શુંય માને કે સમકિત થઈ ગયું છે. ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા, તું જે કરી રહ્યો છે, તેનાથી તો લાખ અવતારેય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી. કમાય કોણ ? ભોગવે કોણ ?જ્યાં આગળ અંતર શાંતિ નથી, ત્યાં સુખ શું હોય ? પેલું ગમે તેટલું કરે પણ અંતરશાંતિ ના હોય. બાહ્યમાં એનો ભપકો બહુ મોટો દેખાય. તમને એમ લાગે કે આ તો ઘણો સુખિયો છે, પણ બહુ દુઃખિયો હોય એ. કારણ કે એને અંતરશાંતિ ના હોય. અંતરશાંતિને આપણે સુખ કહીએ છીએ. મોટા મોટા દસ લાખના ફ્લેટ હોય છે, પણ મહીં તમે જાવ તો સ્મશાન જેવું લાગે. આને સુખ કહેવાય જ કેમ ? કારણ કે અંતરશાંતિ ના હોય. અંતરશાંતિ બંગલામાં કોને કોને હોય ? એક રસોઈયાને, બે નોકરોને હોય. પઠ્ઠા જેવા હોય, જે ખાય-પીવે ને મોજ કરે અને શેઠને શરદી થઈ ગયેલી હોય તે શી રીતે ખાય ? ફ્રૂટ આવે ખરાં ઘરમાં, પણ કોઈથી ખવાય નહીં ને પેલા નોકરો બધા ખાય, તે આવા તગડા થઈ ગયેલા ! મેં જોયેલું છે, ત્યારે થયું કે ધન્ય ભાગ્ય કહેવાય ને ! આ રસોઈયા ને નોકરોનુંયે પુણ્ય જાગ્યું છે ને ! મનુષ્યપણું શેમાં વેડફ્યું ?મનુષ્યપણાની એક મિનિટની કિંમત તો કહેવાય એવી નથી, એટલી બધી કિંમત છે. આ હિન્દુસ્તાનના મનુષ્યોની વાત છે. હિન્દુસ્તાનના મનુષ્યોમાં કેમ ફેર પાડીએ છીએ કે જે લોકોની બિલીફમાં પુનર્જન્મ આવી ગયો છે. હિન્દુસ્તાન સિવાય બહારના લોકોની બિલીફમાં પુનર્જન્મ આવ્યો નથી, એટલે હિન્દુસ્તાનના માણસની એક મિનિટની પણ બહુ કિંમત છે, પણ આ તો રફેદફે વપરાઈ જાય છે. આખો દહાડો ભાન વગર રફેદફે બેભાનપણામાં વપરાઈ જાય છે. તમારી કોઈ ક્ષણ (પા.૨૮)નકામી ગયેલી ? પ્રશ્નકર્તા : ઘણી નકામી ગયેલી. દાદાશ્રી : એમ ? તો કેટલી કામમાં લાગી ? શેમાં કામમાં લાગી ? વધુ મિલકત, વધુ ગૂંચવાડોગૂંચવાડામાં માણસો આખો દહાડો ગૂંચાયા કરે. સાધુ-સંન્યાસી બધાય ગૂંચાયા કરે, મોટો રાજા હોય કે વકીલ હોય, પણ એ ત્યાં ગૂંચાયા કરે. જેની પાસે મિલકત ઓછી હોય તેય ગૂંચાય અને વધારે મિલકત હોય તે વધારે ગૂંચાય; તે આ બધો સંસાર ગૂંચવાડો છે. તો આ ગૂંચવાડામાંથી નીકળવું કેમ ? એના સવાલ પૂછીને જવાબ મેળવવા જોઈએ. અને તમારે આ ગૂંચવાડામાંથી નીકળવાના રસ્તા ખોળવા જોઈએ. ગૂંચવાડામાંથી જે નીકળ્યા હોય તે આપણને ગૂંચવાડામાંથી બહાર કાઢી આપે. બાકી કોઈ આ ગૂંચવાડામાંથી નીકળેલો જ ના હોય એ જ આપણને ગૂંચવાડામાં નાખે ને ! આપણને કોઈ દહાડો ગૂંચવાડામાંથી નીકળવાની ઇચ્છા થાય છે ખરી ? પૈસાની પથારી કરીએ તોય કંઈ ઊંઘ આવે નહીં અને એનાથી કંઈ સુખ પડે નહીં; ગમે એટલા પૈસા હોય તોય દુઃખ. એટલે જ્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. જન્મ્યા ત્યારે એક બાજુના સગા હોય, ફાધર, મધર ને શાદી કરી ત્યારે સસરો, સાસુ, વડસાસુ, માસીસાસુ એ બધું ભેગું થયું. તે ગૂંચવાડો ઓછો હતો તે પાછો વધાર્યો ! બેંકમાં કેટલા ભેગા થયા ?દાદાશ્રી : ધોરાજીથી અહીં કલકત્તામાં શું કામ તમે આવેલા ? પ્રશ્નકર્તા : જીવનનિર્વાહ માટે. દાદાશ્રી : જીવનનિર્વાહ તો જીવ માત્ર કરી જ રહ્યા છે. કૂતરાં, બિલાડાં બધાં જ પોતપોતાના ગામમાં જ રહીને જીવનનિર્વાહ કરે છે. આ મથુરાનાં વાંદરાં હોય છે ને તે પણ ત્યાં ને ત્યાં ગમે તેના ચણા લઈને પણ એમનો નિર્વાહ કર્યા જ કરે છે, એ બહારગામ જતા નથી, મથુરામાં (પા.૨૯)ને મથુરામાં જ રહે છે અને આપણા લોકો બધે જાય છે. પ્રશ્નકર્તા : લોભદ્રષ્ટિ છે ને, એટલે. દાદાશ્રી : હા, એ લોભ હેરાન કરે છે, નિર્વાહ હેરાન નથી કરતો. આ નિર્વાહ હેરાન કરે એવો છે જ નહીં. નિર્વાહ તો એ જ્યાં હોય ત્યાં એને મળી રહે જ. મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે. એને હરેક ચીજ મળી આવે, પણ આ લોભને લીધે ભટક ભટક કરે છે. ‘આમથી લઉં કે તેમથી લઉં, આમાંથી લઉં કે તેમાંથી લઉં’ કર્યા કરે છે. અહીં કલકત્તા સુધી આવ્યા છતાં કોઈ એમ નથી કહેતો કે હું ધરાઈને બેઠો છું ! પ્રશ્નકર્તા : સંતોષ હોય તો દુઃખ શેનું છે ? દાદાશ્રી : ના, ના. સંતોષની વાત નથી. અહીં સુધી કમાવા આવ્યા હતા. હવે કમાઈને કોઈ એમ નથી કહેતો કે ‘મારી પાસે પાંચ અબજ થઈ ગયા છે, હવે મારે કોઈ જરૂરિયાત નથી. એવું કોઈ મને કહેનાર મળ્યો નથી. પાંચ અબજ નહીં તો એક અબજ થઈ ગયા છે, એવું બોલતો હોય તોય હું જાણું કે ભાઈ કલકત્તા આવેલા, તે શાબાશ ! બેન્કમાં તમારે કેટલા છે ? પચાસેક લાખ રૂપિયા છે ? પ્રશ્નકર્તા : શું વાત કરવી સાહેબ ? દાદાશ્રી : શું કહો છો શેઠ ? જો ધોરાજીથી અહીં આવ્યા તોય બેન્કમાં કશું ના મળે ? જુઓ, શરમાવા જેવું બન્યું. ત્યાંથી અહીં આવ્યા ને ફસાયા ઊલટા ! ના અહીંના રહ્યા, ના ત્યાંના રહ્યા ! ભગવાનની ભાષામાં સંપત્તિ કોને કહેવાય છે ? જે સંપત્તિ ગુણાકારવાળી હોય તેને ! ગુણાકારવાળી સંપત્તિ જોડે લઈ જાય અને પોતાને સંતોષ પણ રહે. જે સંપત્તિ ભાગાકારવાળી હોય તેને ભગવાને સંપત્તિ ગણી નથી. ભાગાકારવાળી સંપત્તિ તો અહીં ટૈડ થઈને મરી જાય અને એની સંપત્તિ પણ જાય. સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ? વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. હવે મારે પૈસાની જરૂર નથી એવું કોઈ કહેતું નથી ને ? કોઈ ધરાયેલું નથી ? ઝવેરીઓ ધરાયા હશે ? આ ઝવેરીઓ નહીં ધરાયા ? (પા.૩૦)શું નાણે જ નાથાલાલ ?પ્રશ્નકર્તા : પૈસા ના હોય તે વખતે તો એ લોકો નોનસેન્સમાં ગણાયને ? ને પૈસા હોય, પછી તો પૈસાની ખુમારી આવે ને ? દાદાશ્રી : પૈસા વગરનો નોનસેન્સમાં જ ગણાય. અક્કલવાળો હોય તોય કહેશે, ‘એય ઘરમાં ના આવીશ !’ અક્કલવાળાનું ચાલે નહીં ને! નોનસેન્સમાં જતું રહે ! ને પછી સેન્સિબલ. સેન્સવાળા અને પછી આઉટ સેન્સ, અમે આઉટ ઓફ સેન્સ કહેવાઈએ. અમારામાં સેન્સ ના હોય, બિલકુલેય બુદ્ધિ જ ના હોય. પ્રશ્નકર્તા : પૈસા વગર કોઈ આપણને પૂછતું નથી. પૈસો ના હોય તો આપણને કંઈ પૂછેય નહીં ને કંઈ વાત કરેય નહીં. દાદાશ્રી : આ મારી પાસે ચાર આનાય નથી. મારા ગજવામાં જોઈ આવો, તોય મને બધા જ પૂછે છે. પૈસાની જરૂર તમારે ના રહેને, ત્યારે તમારી પાસે બહુ પૈસા હોય. આ તો જ્યાં સુધી મન ભિખારી છે કે મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયા છે. તે એની ઉપર જ રમ્યા કરે. અલ્યા! શું એ ધૂળ આપવાનું છે તને તે ? અને કંઈક દસેક લાખ રૂપિયા ભેગા કર્યા છે ? ત્યારે કેટલા ભેગા કર્યા છે ? આંધળો વણે ને ચાવે કોણ ?એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમાય કમાય કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, ‘બે હજાર જ પડ્યા છે !’ અને આખો દહાડો હાયવોય, હાયવોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલી બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તોય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે ! આંધળો વણે અને વાછડો ચાવે એનું નામ સંસાર. આંધળો આમ દોરડું વણ્યા કરતો હોય, આગળ આગળ વણ્યા કરતો હોય અને પાછળ (પા.૩૧)દોરડું પડ્યું હોય તે પેલો વાછડો ચાવ્યા કરે. તેમ અજ્ઞાનની ક્રિયા બધી નકામી જાય છે અને પાછો મરીને આવતો ભવ બગાડે, તે મનુષ્યપણું પણ ના મળે ! આંધળો જાણે કે ઓહો, પચાસ ફૂટ દોરડું થયું છે ને લેવા જાય ત્યારે કહેશે, ‘આ શું થઈ ગયું ? અલ્યા, પેલો વાછડો બધું ચાવી ગયો !’ આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે. પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું! આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે. ઈનામ પહેલાને જ ને બાકીનાને ?રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લુગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે, પૈસાને અડે નહીં. પ્રશ્નકર્તા : પામેલો વધુ પામવા માટે અને ના પામેલો પામવા માટે વ્યગ્ર કેમ હોય છે ? દાદાશ્રી : આમાં શું પામવાની વાત છે ? પ્રશ્નકર્તા : આ આર્થિક વાત છે, ભૌતિક વાત છે. જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ? દાદાશ્રી : લોકોને રેસકોર્સમાં ઊતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ? પ્રશ્નકર્તા : પહેલા ઘોડાને. દાદાશ્રી : તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ પહેલો નંબર કોઈનોય લાગતો નથી. આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. તે હાંફી હાંફીને મરી જવાનું અને ઈનામ (પા.૩૨)તો એકને મળવાનું. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ? પ્રશ્નકર્તા : જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ? દાદાશ્રી : તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે. જીવન-મરણાં પણ ફરજિયાતઆખી જિંદગી શક્કરિયું ભરહાડમાં બફાયને, એમ આ મનુષ્યો બફાઈ રહ્યા છે. પ્રશ્નકર્તા : હા, બફારામાં જ જીવે છે. દાદાશ્રી : ના જીવે તો શું કરે ? ક્યાં જાય તે ? આ જીવવાનુંય ફરજિયાત છે પાછું ને મરવાનુંય કોઈના હાથમાં સત્તા નથી. મરવા જાય ત્યારે ખબર પડશે. પોલીસવાળો પકડીને કેસ કરશે. જેમ જેલમાં ગયેલા માણસને ફરજિયાત બધું કરવું પડે છે ને, એવું આ જીવવાનું ફરજિયાત ને પૈસાય ફરજિયાત છે. એટલે લક્ષ્મીની હાય હાય તો હોતી હશે ? અને એની હાય હાય કરીને કોઈ ધરાયો ? આ દુનિયામાં કોઈનોય પહેલો નંબર આવેલો એવું લાગ્યું ? અહીં મુંબઈની મ્યુનિસિપાલિટીમાં કોઈનું નામ નોંધાયેલું છે કે આ ફર્સ્ટ નંબર આવ્યો ને આ સેકન્ડ નંબર આવ્યો. એવાં નામ નોંધાયેલા છે ? આ તો જન્મે છે, કરોડ રૂપિયા કમાય છે ને પાછો મરી જાય છે. કૂતરાને મોતે મરી જાય છે! કૂતરાને મોતે શાથી કહું છું કે ડૉક્ટરો પાસે (પા.૩૩)જવું પડે છે. પહેલાં તો લોકો મનુષ્યને મોતે મરતા હતા. એ શું કહેશે કે ‘ભાઈ, મારે હવે જવાનો ટાઈમ થયો છે, એટલે ઘરનાં પછી દીવો કરે અને અત્યારે તો છેલ્લી ઘડીએ બેભાન થઈ ગયો હોય. કૂતરાંય મરતી ઘડીએ બેભાન નથી થતાં. આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમનાં મોત તો જુઓ ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહક્કના વિષયો ભોગવ્યા તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. તેથી જેની પાસે લક્ષ્મી છે તેનેય પાર વગરનું દુઃખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે. અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો મહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડિસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને ? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા ! ‘દાદા’નું ગણિતપૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, ‘આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?’ પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે ‘ફોર્ડનો પહેલો નંબર છે.’ પણ તો ચાર વર્ષ પછી કો’ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, ‘આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?’ તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા આપણે શું કરવા, ફીણ કાઢીએ ? ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા યે ના પાય પછી. તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરોબર છે. (પા.૩૪)દાદાશ્રી : એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા’તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે. દોડ, દોડ, દોડ, પણ શેના હારુ ? નંબર લાગવાનો હોય તો હેંડ ચાલ, હેંડોને, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરેય નહીં, ઈનામેય નહીં, કશુંય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં ! આ ગણિત શીખવા જેવું નથી લાગતું ? પ્રશ્નકર્તા : અને જે રીતે આપ કહો છો, એ કંઈ વર્ણવવા જેવું જ નથી. એવું જ થઈ ગયું છે. દાદાશ્રી : એટલે આ તો અનુભવની વાત કરું છું ને ! મને જે અનુભવ થયો છે તે જ ! જ્ઞાની, રેસકોર્સથી દૂર...તે લગ્નમાં એવું થતું’તું. અમારા ભત્રીજાઓ છે, તે એમને ત્યાં લગ્ન હોય એટલે એ આમ ભત્રીજા થાયને એટલે કાકાને આગળ બેસાડે, વચમાં. એટલે કાકાનો બીજો, ત્રીજો નંબર હોય જ. તે કાકા બેસેય ખરા. તે પછી ઝવેરચંદ લક્ષ્મીચંદ આવ્યા. એટલે ‘આવો, આવો પધારો’ કહેશે. તે એને વચ્ચે બેસાડીને આપણે ખસવાનું. આમ કરીને તે આઠમો નંબર પહોંચે, ખસી ખસીને. મેં કહ્યું, ‘આ તો અપમાનની જગ્યા થઈ પડી. માનની જગ્યા ન્હોય આ ! એટલે પછી હું તો જ્યારે જઉં ને ત્યારે આગળની જગ્યાનું ધ્યાન-બ્યાન રાખું નહીં. પેલા લોકો ખોળે કે કાકા ક્યાં ગયા ? કાકા ક્યાં ગયા ? તે કાકા પેલી બાજુ ચા પીયા કરતા હોય. બધું જાય ત્યાર પછી આવીને છેટે બેસીને જોયા કરું. આપણે ચા પીતા જવું ને કયો ઘોડો પહેલો આવે છે તે જોવું. એટલે અમારો ભત્રીજો કહે છે, ‘કાકા અહીં બેસતા નથી. આ ખોટું દેખાયને !’ મેં કહ્યું, ‘ભાઈ, આ રેસકોર્સ મને નથી ફાવતું, મારાથી દોડાતું (પા.૩૫)નથી. આ મારી કેડો તૂટી ગયેલી છે તે દોડાતું નથી.’ ત્યારે કહે, ‘આ તો તમારી લુચ્ચાઈ કહેવાય. આ તો મનેય આવડે છે. આમ મજાક કરતો’તો.’ મેં કહ્યું, ‘જે છે તે આ છે મારું તો. આ ખસી ખસીને પાછું સાત ફેરા સુધી ફાઉન્ડેશન સાથે ખેંચવાનું! એટલે પછી જોવાની ટેવ પડી ગઈ. ત્યાં જઈએને તે લગ્નમાં જોવાની, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની ટેવ પડી ગયેલી. જ્ઞાન નહીં થયેલું. એમ ને એમ જ્ઞાતા-દ્રષ્ટા, વ્યવહારિક જ્ઞાતા-દ્રષ્ટા ! ઘોડદોડના ઘોડાની દશાએક જૈન ધર્મના સંઘના પ્રેસિડેન્ટ હતા. એ એમનાં મંદિરોના પ્રેસિડેન્ટ હતા. આમ સારા માણસ. મોટા વકીલ હતા. તે લગ્નમાં આવ્યા એટલે ‘આવો, આવો ચંદુભાઈ, આવો’ કહે, તે આમ બેસાડ્યા. પછી ઝવેર લક્ષ્મીચંદ આવ્યા, તે ‘આવો આવો’ કહીને એમને આમ બેસાડ્યા. એટલે એ ચંદુભાઈને ખસવું પડ્યું. આખી સીટ ખસેડવી પડી. તે એમ બે-ચાર સીટ ખસેડવા પડ્યાને એટલે મોઢું ઊતરી ગયેલું. પહેલું ખસેડ્યું તેમાં થોડુંક ઊતર્યું. બીજા વખતે વધારે, ત્રીજા ને ચોથા વખતે તો ઊતરી ગયેલું તે હું જોયા કરું. મેં કહ્યું, ‘આની શી દશા થઈ બિચારાની! અરેરે... અહીંયા બધાંય વાજાં વાગે છે ફર્સ્ટ ક્લાસ. આ લોકો પીણાં પીએ છે ને આ આમની શી દશા થઈ ! એના મનમાં ને મનમાં વિચાર કરે. આ સમજદાર નહીં, પણ બોલે તો બોલાય પણ નહીં અને પેલા પીણામાંય સ્વાદ ના આવે. વાજાં સરસ વાગે. લોકો કેવા સારા સારા છે ને મોઢાં જોવામાંય સ્વાદ ના આવે. મને જોવામાં આનંદ આવે કે આ કેવા ફસાયા છે! પછી એ ઊઠી જાય એટલે હું એમને ભેગો થઈ જાઉં. મેં કહ્યું, ‘ચંદુભાઈ સાહેબ કેમ...’ ત્યારે કહે, ‘તમારા પટેલનું કામ બહુ ખરાબ...’ મેં કહ્યું, ‘હું એવો નથી.’ પછી મને કહે છે, ‘આ આવ્યો તે આવ્યો. બધાને આગળ બેસાડ બેસાડ કરે છે, તે એમ નહીં સમજે કે આ કોણ છે ને કોણ નહીં એવું તેવું સમજવું જોઈએને ! મેં કહ્યું, ‘એમને જરાક કચાશ ખરીને !’ એટલે, પછી ખુશ થઈ ગયા. કહ્યું ‘હેંડો, ચા-બા પીને જાવ.’ પણ તોય આગળની સીટ છોડે નહીં. તેય મનમાં એમ નહીં કે બીજી વખત જરા ચેતીએ આપણે. અહીં તો આ રેસકોર્સમાં નંબર નહીં લાગે (પા.૩૬)ને વગર કામનાં હાંફ હાંફ કરવાનું. નથી ઘરમાં રસ રહ્યો, નથી ચા-પાણીમાંય રસ રહ્યો. આ જ રસ ! મેં પુસ્તકમાં લખ્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી કે જે મેં વિચાર્યા વગર બાકી રાખ્યું હોય. આવું ચાલતું હશે ? હાંફી હાંફીને મરી ગયા તોયે હજી સીટ છોડતા નથી. એય પછી સરસ મજાનું ખાવા-પીવાનું હોય! બીજા કશામાં રસ જ ના આવે ને ! વાત જરા અનુભવમાં આવે એવી છે ને ? પ્રશ્નકર્તા : બહુ જ સારી મજા આવી. દાદાશ્રી : એટલે વાત વ્યાવહારિક તમે સમજી જાવને, તો વ્યવહાર પેલો પાકો થઈ ગયો. આદર્શ થઈ ગયો એટલે ઓલ રાઈટ થઈ ગયો. ખરી જરૂરિયાત શેની ?પ્રશ્નકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે, એટલે લક્ષ્મી સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોઈએ તો એ ક્યારે મળે ? એટલે આ લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે, એવું નથી લાગતું ? દાદાશ્રી : ના. લક્ષ્મી એ બિલકુલેય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલેય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠા છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો તું કહું કે ના, હવાની જરૂરિયાત છે, કારણ કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી જરૂરી સાધન છે, એવું કહે છે, એ તો બધી મેડનેસ છે. કારણ કે બે મિલવાળાનેય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાનેય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીનેય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરનેય લક્ષ્મી જોઈએ છે. ત્યારે સુખી કોણ આમાં ? આ રાંડેલીયે રડે ને માંડેલીયે રડે ને સાત ભાયડાવાળીયે રડે. આ તો રાંડેલી તો રડે તે આપણે જાણીએ કે બઈનો ધણી મરી ગયો છે. પણ આ (પા.૩૭)તો માંડેલી, તું શું કરવા રડે છે ? ત્યારે એ કહેશે કે, ‘મારો ધણી નઠારો છે, અને સાત ભાયડાવાળી તો મોઢું જ ના ઉઘાડે એવી આ લક્ષ્મીની બાબત છે. એટલે કેમ આ લક્ષ્મીની પાછળ પડ્યા છે ? આવું ક્યાં ફસાયા તમે ? પૈસાની પ્રાપ્તિમાં પુરુષાર્થ ક્યાં ?પ્રશ્નકર્તા : આ પુણ્યની લક્ષ્મી આપણી પાસે આવવાની છે કે નહીં, એના માટે સહજ પુરુષાર્થ તો કંઈક હોવો જોઈએ ને ? દાદાશ્રી : પુણ્યની લક્ષ્મી માટે પુરુષાર્થ કેવો હોય ? આમ સરળ ને સુંવાળો પુરુષાર્થ હોય. આ તો સરળ ને સુંવાળો હોય તેને આપણે અણસમજણથી કઠણ બનાવીએ છીએ. પ્રશ્નકર્તા : આપણને એમ લાગે કે સરળ ને સુંવાળો નથી અને કઠણ છે તો પછી એને પડતું મૂકી દેવું ? આપણને એમ લાગે કે આપણી પુણ્ય એટલી બધી નથી કે સરળ રસ્તેથી લક્ષ્મી આવે, તો પછી ત્યાં આપણે સહજ થઈ જવું ? દાદાશ્રી : ના, ના. ધીરજ રાખો તો બધું એની મેળે સરળ જ નીકળે છે ! પણ આ તો ધીરજ નથી રહેતી અને દોડધામ કરી મેલે છે ને બધું બગાડે છે. પ્રશ્નકર્તા : ધીરજ નથી રહેતી ને આમ કરું, તેમ કરું એમ થઈ જાય છે. દાદાશ્રી : હા અને આમ કરી નાખું, તેમ કરી નાખું એનાથી બધું ગૂંચવી નાખે છે. ટ્રેન પકડવાની હોય ત્યાંય એને ધીરજ ના રહેતી હોય, ત્યાં નિરાંતે ચા પીએ ખરો ? ના. એને તો ગાડી હમણાં આવશે, ગાડી હમણાં આવશે, એમાં જ હોય. એને કહીએ કે ‘જરા ભાઈ, અહીં આવો, વાતચીત કરવી છે.’ પણ તોય એ સાંભળે નહીં, તેવું આ અધીરજથી આમ કરી નાખું, તેમ કરી નાખું કરે છે. પછી એવો જ ક્લેશ ને થાક અનુભવે છે. પ્રશ્નકર્તા : એવું છે, ધંધામાં આપણા માથે સ્વાભાવિક રીતે કંઈક (પા.૩૮)તલવારો લટકતી હોય કે ઈન્કમટેક્સ ભરવાનો છે, સેલટેક્સ ભરવાનો છે. પગારો વધારવાના છે, તો એના દબાણને લઈને એ ફાંફાં મારતો હોય કે આમ કરી લઉં ને તેમ કરી લઉં ! દાદાશ્રી : તોય કશું વળે નહીં, ફાંફાંવાળાને ફાંફાં જ મારવાનાં રહે. પ્રશ્નકર્તા : એટલે આપે કહ્યું તેમ ધીરજ પકડે તો એની મેળે ગોઠવણી થઈ શકશે ? દાદાશ્રી : ધીરજથી જ બધું થાય. શાંતિથી બધું આવે. એ ઘેર બેઠાં બોલાવવા આવે. પાછું એવું નહીં કે આપણે બજારમાં ખોળવું પડે. બાકી મહેનત કરીને મરી જાય, બુદ્ધિ વાપરીને મરી જાય તો પણ આજે ચાર આનાય મળે નહીં, અને આવું એકલો ક્યાં ઝાલી પડ્યો છે ? આખી દુનિયા લક્ષ્મી પાછળ જ પડી છે ! સ્મશાનમાં પૈસા ખોળાય ?પૈસાની પાછળ જ પડ્યા છે તે ક્યાંથી પૈસો લેવો, ક્યાંથી પૈસો લેવો. અલ્યા, સ્મશાનમાં શાના પૈસા ખોળો છો ? આ સંસાર તો સ્મશાન જેવો થઈ ગયો. પ્રેમ જેવું કશું દેખાતું નથી. પૈસા જે રીતે આવવાના છે, એનો રસ્તો કુદરતી છે, ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારું ને બાપ !!! લક્ષ્મી ‘લિમિટેડ’ છે અને લોકોની માગણી ‘અનલિમિટેડ’ છે. પૈસો આવવો, પરસેવા પેઠકોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને ‘ક્યાંથી કમાવું, ક્યાંથી કમાવું’ એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠ્યો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એય મોટી અટકણ કહેવાય. (પા.૩૯)પ્રશ્નકર્તા : પણ પૈસા વગર ચાલતું નથી ને ! દાદાશ્રી : ચાલતું નથી, પણ પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતા નથી અને પાછળ દોડ દોડ કરે છે. પૈસા તો પરસેવાની પેઠે આવે છે. જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને પરસેવો ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસા આવે જ છે લોકોને ! મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તોય મારે ઘેર જે કોઈ આવ્યો હોય તે મારા ધંધાની વાત કોઈ જાણતા જ નહોતા. ઊલટો હું એને પૂછપૂછ કરું કે તમે શી અડચણમાં આવ્યા છો ? શું જોઈએ જગતને ?દાદાશ્રી : તમને રાત-દહાડો સ્વપ્નાં આ લક્ષ્મીનાં આવે છે ? પ્રશ્નકર્તા : સ્વપ્નું આવતું નથી પણ એ સ્વપ્નાની ઇચ્છા રાખું ખરો. દાદાશ્રી : તો કોઈ અડચણવાળો હોય ને તમારી પાસે સો રૂપિયા માંગવા આવે ત્યારે તમારી શી દશા થાય ? હાય બાપ, ઓછા થઈ જશે તો ? એવું થઈ જાય ? ઓછા કરવા માટે તો આ રૂપિયા છે, એ કંઈ જોડે લઈ જવાના નથી. જો જોડે લઈ જવાના હોય ને, તે વાણિયા તો બહુ અક્કલવાળા લોક, પણ તમારી નાતમાં પૂછી જુઓ, કોઈ લઈ ગયેલા ? મને લાગે છે કે એ ઓટીમાં ઘાલીને લઈ જતા હશે ? આ પૈસા જોડે લઈ જવાતા હોય તો તો આપણે એનું ધ્યાનેય કરીએ પણ એ જોડે લઈ જવાના નહીંને ? પ્રશ્નકર્તા : તો પછી મનુષ્યમાત્રની પૈસા મેળવવા તરફ વૃત્તિ કેમ રહેતી હશે ? દાદાશ્રી : આ લોકોનું જોઈને કર્યા કરે છે. આ આવું કરે ને હું રહી ગયો, એવું એને થયા કરે છે. બીજું એના મનમાં એમ છે કે પૈસા (પા.૪૦)હશે તો બધું આવશે. પૈસાથી બધું મળે છે. પણ બીજો કાયદો એ જાણતો નથી કે પૈસા શા આધારે આવે છે ? જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની આ તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે. પ્રશ્નકર્તા : છતાં પણ અત્યારે તો મોક્ષ કોઈનેય જોઈતો નથી, ફક્ત પૈસો જોઈએ છે. દાદાશ્રી : તેથી તો ભગવાને કહ્યું છે ને, કે આ પ્રાણીઓને મોતે મરે છે. કૂતરાં, ગધેડાં, જેમ પ્રાણીઓ મરે છે ને તેમ આ માણસો મરી જાય છે, કમોતે મરે છે. હાય પૈસો ! હાય પૈસો ! કરતાં કરતાં મરે છે ! ભજના ભગવાનની કે પૈસાની ?પૈસો તો યાદ આવવો તેય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ? હું શું કહેવા માગું છું એ આપને સમજાય છે ? પ્રશ્નકર્તા : એ સમજાયું. પણ એમાં જોખમ શું એ સમજાયું નથી. એમાં તો તરત જ તાત્કાલિક લાભ થાય ને ! પૈસા હોય એટલે બધી વસ્તુઓ આવે. ઠાઠમાઠ, મોટર, બંગલા, બધું પ્રાપ્ત થાય છે ને ? દાદાશ્રી : પણ પૈસાની ભજના કોઈ કરતું હશે ? પ્રશ્નકર્તા : એ જ કરતા હોય છે ને ? દાદાશ્રી : તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે તે હવે શું થાય ? પણ એટલે સારું છે કે અત્યારે માણસને પૈસા જોડે લઈ જવાની છૂટ આપી છે. આ સારું છે ને ? પ્રશ્નકર્તા : પૈસા ક્યાં ભેગા લઈ જાય છે ? બધું અહીંયાં મૂકીને તો જાય છે, કોઈ જોડે આવતું નથી. દાદાશ્રી : એમ ? પણ લોકો જોડે લઈ જાય છે ને ! ના, તમે એ (પા.૪૧)કળા જાણતા નથી (!) એ કળા તો પેલા બ્લડપ્રેશરવાળાને પૂછી જો કે તેની કળા કેવી છે ! તે તમે જાણો નહીં. જો જોડે લઈ જવાતું હોત તો ?એક શેઠ મળેલા. આમ લાખોપતિ હતા. મારા કરતાં પંદર વર્ષે મોટા, પણ મારી જોડે બેસે-ઊઠે. એ શેઠને એક દહાડો મેં કહ્યું કે, ‘શેઠ, આ છોકરાં, બધાં કોટ-પાટલૂન પહેરીને ફરે છે ને તમે એક આટલી ધોતી ને બેઉ ઢીંચણ ઊઘાડા દેખાય એવું કેમ પહેરો છો ?’ એ શેઠ દેરાસર દર્શન કરવા જતા હોય ને, તો આમ ઊઘાડા દેખાય. આટલી ધોતી તે લંગોટી મારીને જાય એવું લાગે. આટલી બંડી ને સફેદ ટોપી, તે દર્શન કરવા દોડધામ કરતા જાય. મેં કહ્યું કે, ‘મને લાગે છે કે આ બધું જોડે લઈ જશો ? ત્યારે મને કહે કે ‘ના લઈ જવાય, અંબાલાલભાઈ. જોડે ના લઈ જવાય !’ મેં કહ્યું કે, ‘તમે તો અક્કલવાળા, અમને પટેલોને સમજણ નહીં. તમે તો અક્કલવાળી કોમ, કંઈ ખોળી કાઢ્યું હશે ?’ તો કહે કે, ‘ના કોઈથીય ના લઈ જવાય.’ પછી એમના દીકરાને પૂછ્યું કે, ‘બાપા તો આવું કહેતા હતા.’ ત્યારે એ કહે છે કે, ‘એ તો સારું છે કે જોડે લઈ નથી જવાતું. જો જોડે લઈ જવાતું હોય ને તો મારા બાપા ત્રણ લાખનું દેવું અમારે માથે મૂકીને જાય એવા છે ! મારા બાપા તો બહુ પાકા છે. એટલે નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો બાપા તો ત્રણ લાખનું દેવું મૂકીને અમને રખડાવી મારે. મારે તો કોટપાટલૂનેય પહેરવાનાં ના રહે. જોડે લઈ જવાતું હોત ને, તો અમને પરવારી દેવડાવે એવા પાકા છે !’ પ્રશ્નકર્તા : દેવું કરીનેય લઈ જાય ? દાદાશ્રી : દેવું કરીનેય પૈસા પોતે જોડે લઈ જાય પણ જો પેલો કહે છે ને કે ‘નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો મારા બાપા તો ત્રણ લાખનું દેવું મૂકી જાય એવા છે !’ બે નંબરના પૈસાથી કર્મબંધ કયો ?પ્રશ્નકર્તા : મુંબઈના શેઠિયા બે નંબરના પૈસા ભેગા કરતા હોય, એનાથી શું ઇફેક્ટ થાય ? (પા.૪૨)દાદાશ્રી : એનાથી કર્મનો બંધ પડે. એ તો બે નંબરના ને એક નંબરના હોય. તે ખરા-ખોટા પૈસા એ બધા કર્મનો બંધ પાડે. કર્મનો બંધ તો એમ ને એમ પણ પડે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી કર્મનો બંધ પડે છે. બે નંબરના પૈસાથી ખરાબ બંધ પડે. આ જાનવરની ગતિમાં જવું પડે, પશુયોનિમાં જવું પડે. સંતોષ કેમનો રહે ?પ્રશ્નકર્તા : આ લોકો પૈસા પાછળ પડ્યા છે તો સંતોષ કેમ નથી રાખતા ? દાદાશ્રી : આપણને કોઈ કહે કે સંતોષ રાખજો તો આપણે કહીએ કે ભાઈ, તમે કેમ રાખતા નથી ને મને કહો છો ? વસ્તુસ્થિતિમાં સંતોષ રાખ્યો રહે એવો નથી. તેમાંયે કોઈનો કહેલો રહે એવો નથી. સંતોષ તો જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વાભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી. એ તો પરિણામ છે. જેવી તમે પરીક્ષા આપી હશે તેવું પરિણામ આવે. એવી રીતે જેટલું જ્ઞાન હશે એટલું પરિણામ સંતોષ રહે. સંતોષ રહે એટલા માટે તો આ લોક આટલી બધી મહેનત કરે છે ! જુઓને, સંડાસમાંય બે કામ કરે છે! દાઢી ને સંડાસ બેઉ કરે ! એટલો બધો લોભ હોય ! આ તો બધું ઈન્ડિયન પઝલ કહેવાય ! એટલે જ ઈન્ડિયન પઝલ કહ્યું ને ! બે કામ, એટ એ ટાઈમતે મહીં વકીલો તો સંડાસમાં બેસીને દાઢી કરે છે અને એમનાં વાઈફ મને કહેતાં હતાં કે અમારી જોડે કોઈ દહાડો બોલ્યા નથી. ત્યારે કેવાં એ એકાંતિક થઈ ગયેલાં! એક જ બાજુ, આ જ ખૂણો અને પછી દોડ-દોડ હોય છે ને ! લક્ષ્મી આવે ને તો ત્યાં નાખી આવે પાછા. લે ! અહીં આગળ ગાય દોહીને ત્યાં ગધેડાને પાઈ દે ! છે લોભને કદી થોભ ?આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે. મનુષ્યપણામાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન થયા કરે, તે મનુષ્યપણું જતું રહે. (પા.૪૩)મોટાં મોટાં રાજ ભોગવી ભોગવીને આવ્યો છે. આ કંઈ સાવ ભિખારી નહોતા, પણ અત્યારે મન ભિખારી જેવું થઈ ગયું છે. તે આ જોઈએ ને તે જોઈએ થયા કરે છે. નહીં તો જેનું મન ધરાયેલું હોય, તેને કશુંય ના આપો તોય રાજેશ્રી હોય. પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી દ્રષ્ટિ કરાવે છે. લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે. પણ પૈસા ‘વ્યવસ્થિત’ને આધીન છે. પછી ધર્મમાં રહેશે કે અધર્મમાં રહેશે તોય પૈસા તો આવ્યા જ કરશે. એની ચિંતવના કરાય ?પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં પડશે તોય એટલા આવશે ને અધર્મમાં પડશે તોય એટલા આવશે. પણ અધર્મમાં પડશે તો દુરુપયોગ થશે ને દુઃખી થશે અને આ ધર્મમાં સદુપયોગ થશે ને સુખી થશે અને મોક્ષે જવાશે તે વધારાનું. બાકી પૈસા તો આટલા જ આવવાના. પૈસા માટે વિચાર કરવો એ એક કુટેવ છે. એ કેવી કુટેવ છે કે એક માણસને તાવ બહુ ચઢ્યો હોય અને આપણે તેને વરાળ આપીને તાવ ઉતારીએ. વરાળ આપી એટલે તેને પરસેવો બહુ થઈ જાય, એવું પછી પેલા રોજ વરાળ આપીને પરસેવો કાઢ કાઢ કરે તો એની સ્થિતિ શું થાય ? પેલો આમ જાણે કે આ રીતે એક દહાડો મને બહુ ફાયદો થયેલો, મારું શરીર હલકું થઈ ગયેલું, તે હવે આ રોજની ટેવ રાખવી છે. રોજ વરાળ લે ને પરસેવો કાઢ કાઢ કરે તો શું થાય ? પ્રશ્નકર્તા : શરીરમાંથી પાણી બધું નીકળી જાય. દાદાશ્રી : પછી આ લાકડું થઈ જાય. આ ડુંગળીને જેમ સૂકવે છે ને ? એવી રીતે આ લક્ષ્મીનું ચિંતવન કરવું એ એના જેવું છે. જેમ આ પરસેવો પ્રમાણમાં જ નીકળે છે, એવી રીતે લક્ષ્મી પ્રમાણસર આવ્યા જ કરે છે. તમે તમારે કામ કર્યે જવાનું છે. કામમાં ગાફેલ નહીં રહેવાનું. (પા.૪૪)લક્ષ્મી તો આવ્યા જ કરશે. લક્ષ્મીના વિચાર નહીં કરવાના કે આટલી આવજો ને તેટલી આવજો, કે આવે તો સારું, એવું વિચારવું નહીં. એનાથી તો લક્ષ્મીજીને બહુ રીસ ચઢે છે. મને લક્ષ્મીજી રોજ મળે છે ત્યારે હું તેમને પૂછું છું કે ’પૈસા ‘તમે કેમ રિસાણાં છો ?’ ત્યારે લક્ષ્મીજી કહે છે કે ‘હવે આ લોકો એવા થઈ ગયા છે કે તમારે મારે ત્યાંથી જવાનું નહીં એવું કહે છે.’ ત્યારે લક્ષ્મીજી શું એના પિયર ના જાય ? લક્ષ્મીજીને ઘરની મહીં આંતરી રખાય ? ભેલાયાં ઘર, તેનું શું ?લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત તે તેના ઘરનાં છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઈ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઈ રહ્યું છે. અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઈએ. ‘આવન-જાવન’ હિસાબસર જલક્ષ્મી તો હાથનો મેલ છે, એ તો નેચરલ આવવાનો. તમારે આ સાલ પાંચ હજાર સાતસો ને પાંચ રૂપિયા અને ત્રણ આના એટલો હિસાબ આવવાનો હોય ને, તે હિસાબની બહાર કોઈ દહાડો જતું નથી અને છતાં આ વધારે આવતા દેખાય છે, એ તો પરપોટાની પેઠે ફૂટી પણ જાય. પણ જેટલો હિસાબ છે એટલો જ રહેશે. આ અરધી તપેલી દૂધ હોય ને નીચે લાકડાં સળગાવ્યાં ને દૂધની તપેલી ઉપર મૂકી, તો દૂધ આખી તપેલી થાય ને, ઊભરાયાથી આખી તપેલી ભરાઈ, પણ તે ભરાઈ રહેલું ટકે છે ? એ ઉભરાયેલું ટકે નહીં. એટલે જેટલો હિસાબ છે એટલી જ લક્ષ્મી રહેશે. એટલે લક્ષ્મી તો એની મેળે જ આવ્યા કરે. હું ‘જ્ઞાની’ થયો છું, અમને સંસાર સંબંધનો વિચારેય નથી આવતો, તોય લક્ષ્મી આવ્યા કરે છે ને ! તમારે પણ એની મેળે આવે છે, પણ તમે કામ કરવા માટે બંધાયેલા છો. તમારે ફરજિયાત શું છે ? વર્ક છે. (પા.૪૫)લક્ષ્મીના ધ્યાનમાં પડાય ?લક્ષ્મી એ તો બાય પ્રોડક્ટ છે. જેમ આપણો હાથ સારો રહેશે કે પગ સારો રહેશે, એનો વિચાર રાતદહાડો કરવો પડે છે ? ના, શાથી ? હાથ-પગની આપણને જરૂર નથી ? છે, પણ એનો વિચાર કરવો પડતો નથી. એવી રીતે લક્ષ્મીનો વિચાર કરવાનો નહીં. એય આપણને અહીં આગળ હાથ દુઃખતો હોય, તે એની મરામત પૂરતો વિચાર કરવો પડે છે. એવું કોઈ વખત વિચાર કરવો પડે તે તાત્કાલિક પૂરતો જ પછી વિચાર જ નહીં કરવાનો, બીજી ભાંજગડમાં નહીં ઊતરવાનું. લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઊતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે, તો બીજી બાજુ બીજું ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીનાય ધ્યાનમાં ના ઊતરાય. સ્ત્રીના ધ્યાનમાં ઊતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઊતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એય ફરતો ! લક્ષ્મી મોટું રૌદ્રધ્યાન છે એ તો, એ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે. કારણ કે પોતાના ઘેર ખાવા-પીવાનું છે, બધુંય છે, પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે. એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો. નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે એના ગુનેગાર તમે નથી ! સહજ તો પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શું કહે છે ? અમને આંતરાય નહીં, જેટલી આવી એટલી આપી દો. સંભારે ત્યાંથી એ ભાગેએક ભાઈ અહીં આવેલા. તે બિચારાને ધંધામાં દર મહિને ખોટ જાય, તે પૈસાની હાય હાય કરતા હતા. મેં એમને કહ્યું, પૈસાની શું કરવા વાત કરો છો ? પૈસા તો સંભારવાના બંધ કરી દો. પણ ત્યારથી એમને પૈસા વધવા માંડ્યા. તે દર મહિને ત્રીસ હજાર રૂપિયા નફો થવા માંડ્યો. નહીં તો પહેલાં વીસ હજાર રૂપિયાની ખોટ આવતી હતી. ને પૈસાને તો સંભારાતા હશે ? લક્ષ્મીજી એ તો ભગવાનની સ્ત્રી કહેવાય. એનું નામ તો દેવાતું હશે ? નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઇચ્છા (પા.૪૬)હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે. ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? તેમ લક્ષ્મીની પણ જરૂર છે. સંડાસ જેમ સંભાર્યા સિવાય થાય છે, તેમ લક્ષ્મી પણ સંભાર્યા સિવાય આવે છે. એ આવે કે લાવવી પડે ?પૈસા ભેગા કરવાની ઇચ્છા છે પણ પૈસા શેનાથી આવે તે ખબર નથી. તે એક માણસે પૂછ્યું કે, ‘દાદા, કેવી રીતે લક્ષ્મી આવે ?’ મેં કહ્યું, ‘જેવી રીતે ઊંઘ આવે છે તેવી રીતે.’ હા, કેટલાકને ઊંઘ બિલકુલેય નથી આવતી ને ? તો એવું, ત્યાં રૂપિયાયે ના દેખાય. એ રૂપિયા અને ઊંઘ એ બે સિમિલી છે. જેમ ઊંઘ આવે છે ને તેવી રીતે જ લક્ષ્મી આવે છે. ઊંઘ લાવવાને માટે તમારે કશું કરવું નથી પડતું અને જો પ્રયત્ન કરશો તો વધારે આઘી જશે. ઊંઘ લાવવાને માટે પ્રયત્ન કરશો તો દૂર જશે. આજે કરી જો જો ને ! આ મુંબઈ શહેર આખું દુઃખી છે. કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે, એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી ને બેઠા છે ! જિંદગીની જરૂરિયાતનું ધોરણ શું ?આ તો ચિંતા કરે તોય પડોશીઓનું જોઈને. પડોશીને ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવન-જરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાત છે. દા.ત. ઘરમાં ખાવા-પીવાનું પૂરતું જોઈએ. રહેવા માટે ઘર જોઈએ. ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ. પણ જો પડોશીએ બેન્કમાં દશ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે. આનાથી તો દુઃખ ઊભાં થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે. એક જમીનદાર મારી પાસે આવ્યો તે મને પૂછવા લાગ્યો કે ‘જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘાં જમીન છે, બંગલો છે, બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે. તો મારે કેટલું રાખવું ?’ મેં કહ્યું, ‘જો ભાઈ, દરેકની (પા.૪૭)જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે. આ તો બધું એક્સેસમાં જાય છે અને એક્સેસ તો ઝેર છે, મરી જઈશ !’ ચિંતા ત્યાં લક્ષ્મી ટકે ?પ્રશ્નકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય ને ચિંતા જ ના કરે. દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એય એમના હાથમાં જ નથી ને ! એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે અને મોઢે અહંકાર કરે છે, કે હું કમાવા ગયેલો. અને આ વગર કામની ચિંતા કરે છે. પાછું એય દેખાદેખીથી કે ફલાણાભાઈ તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો. તે ચિંતામાં ને ચિંતામાં પછી તડબૂચા જેવા થઈ જાય અને છોડી પૈણાવવાની હોય ત્યારે ચાર આનાય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે ? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય એને ત્યાં લક્ષ્મીજી જાય. શું સસ્તું ? શું મોંઘું ?પ્રશ્નકર્તા : અત્યારે પૈસો સસ્તો થયો છે. દાદાશ્રી : પૈસો સસ્તો થયો છે. પૈસો સસ્તો તો માણસ સસ્તો થઈ જાય. પૈસો મોઘોં થાય ત્યારે માણસ મોંઘો થાય. માણસની કિંમત ક્યાં સુધી ? પૈસો મોંઘો હોય ત્યાં સુધી થાય. પૈસો સસ્તો થાય એટલે માણસની કિંમત સસ્તી થઈ ગઈ ! એટલે પછી વાળ કપાવાનુંય મોંઘું થઈ જાય. ૧૯૪૨ની સાલથી ગવર્નમેન્ટે જે દહાડે પહેલી વખત એક રૂપિયાની નોટ કાઢી હતી, વિધાઉટ પ્રોમિસ ટુ પે વાળી નોટ, ત્યારથી જ આ પૈસો રદ્દી થવા માંડ્યો હતું. (પા.૪૮)બે રૂપિયામાં બાદશાહી જોયેલીજ્યારે લક્ષ્મીના ભાવની કિંમત વધી જાય, એની સાથે માણસના ભાવની કિંમત વધી જાય. જ્યારે લક્ષ્મીનો ભાવ વધે ત્યારે આ રૂપિયો રૂપિયા જેવું ફળ આપે. ત્યારે તે દા’ડે આ માણસો સારા થશે. અત્યારે આ રૂપિયો ફળ જ નથી આપતો ને ! નહીં તો અમારે ત્યાં તો કંટ્રાક્ટનો ધંધો, તે બે રૂપિયા લઈને હું નીકળું, અમથા બે રૂપિયા ગજવામાં હોય તો સાત ભાઈબંધો પાછળ ફર્યા કરે, આખો દહાડોય ! ચા પાઈએ, ઘોડાગાડીમાં, બગીમાં બેસાડીએ. આખો દહાડો બધા જોડે ને જોડે ફર્યા કરીએ, બે જ રૂપિયામાં ! અને અત્યારે સોએ પૂરું ના થાય. એવી મજા ના આવે. અત્યારે એવા ઘોડા જ જોવામાં નથી આવતા ને ! એ જે ઘોડાગાડીમાં અમે બેઠેલા ને ! એ ઘોડા જોવામાં નથી આવતા. ઘોડા આમ દેખાય, રાજશ્રી જેવા દેખાય ! એટલે બધુંય ગયું હવે. પ્રશ્નકર્તા : એ જમાના ગયા. દાદાશ્રી : ફરી આવશે પણ ! અનોખો હિસાબપ્રશ્નકર્તા : આપણને આજે એમ લાગે છે કે આપણી પ્રજા કેટલા બધા પૈસા વાપરે છે, પણ આપણા જમાનામાં રૂપિયે મણ બાજરી હતી અને અત્યારે ? દાદાશ્રી : વાત ખરી છે ! એવું છે ને હું તમને ખરી વસ્તુ કહી દઉં. એ હકીકત જાણવા જેવી છે કે આવી જો મોંઘવારી થાય તો ‘પબ્લિક’ ખાવા-પીવાનું કશું ના પામે. એટલે પછી મેં જ્ઞાનથી જોયું કે ‘આ શું છે તે ? આમ માણસો શી રીતે તેલ લાવીને ખાય છે ? આટલી મોંઘી વસ્તુઓ તે કેવી રીતે ખાતા હશે ?’ એ બધો હિસાબ કાઢ્યો. છેવટે જ્ઞાનથી જોયું ત્યારે ખબર પડી કે ત્યાં આગળ રૂપિયાની ભાંજગડ નથી હોતી. કેટલું ઘી, કેટલું તેલ, કેટલું દૂધ, આ બધાનો હિસાબ તમારી જોડે ‘જોઈન્ટ’ થયેલો છે. તેથી આ બધી વસ્તુઓ મળે છે, નહીં તો આ તો કોઈનેય મળે નહીં, શ્રીમંતોનેય મળે નહીં. (પા.૪૯)હિસાબ બંધાય શેનાથી ?પ્રશ્નકર્તા : આ લૌકિક વ્યવહાર જે થયો એ વિજ્ઞાનનું જ પરિણામ છે ? દાદાશ્રી : કયો વ્યવહાર ? પ્રશ્નકર્તા : આપણે કોઈને આપવું-લેવું, વધવું-ઘટવું. દાદાશ્રી : એ હિસાબ જ છે. વિજ્ઞાન એટલે હિસાબ જ છે એ તો. એટલે ડિસ્ચાર્જ સ્વરૂપે ગોઠવાયેલું છે. એ પ્રમાણે બધું આવે છે. એ કંઈ રૂપિયા લીધેલા-ધીરેલા નથી, રૂપિયા લઈને આપણે. ઋણાનુબંધ રૂપિયાનું નથી હોતું, પેલાને ભાવ છે કે મારે આવા બાપા મળે તો સારું. એટલે આમ બાપ જોઈએ નહીં, પણ આવા વિચારોવાળા બાપ મળે, આવા વિચારોવાળા છોકરા મળે, એટલે તેવું થાય. બસ, બીજું કશું નહીં. પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિના આશય પ્રમાણે ભેગું થાય. દાદાશ્રી : હા, ભેગું થાય બધું. બાકી રૂપિયા આપવા-દેવાનું કંઈ ત્યાં આગળ નથી એવું. ફક્ત રાગ-દ્વેષના આધીન છે. રાગ-દ્વેષ ખરો એટલે એવા આશયના ચાર જણ હોય તેમાં રાગ-દ્વેષ કોની જોડે છે, તેનું છે આ, તેની જોડે જોઈન્ટ થાય છે. બીજો રાગ-દ્વેષ વગરનો હોય તે ના ચાલે. હિસાબસર જ છે, એટલે કુદરતી રીતે જ થાય છે. બધું નેચરલ, બસ આમાં કોઈને કશું કરવા આવવું પડતું નથી. શેઠ-નોકર ભેગા, શા આધારે ?આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે ? પગાર આપનારો તારો શેઠ પણ પુણ્યને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠનેય કર્મચારીઓ મારે. પ્રશ્નકર્તા : શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો અને આણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી તેથી આ ભેગું થયું ? દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય. પ્રશ્નકર્તા : તો એ લેણદેણ હશે ? (પા.૫૦)દાદાશ્રી : ના, એવું કશુંય નહીં. પ્રશ્નકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ? દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણેય નહીં ને પાળખાણેય નહીં. શેઠની બુદ્ધિના આશયમાં એવું હોય કે મારે આવા નોકર જોઈએ. અને નોકરની બુદ્ધિના આશયમાં હોય કે મારે આવા શેઠ જોઈએ. તે બુદ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય ! આમાં વાંક કોનો કાઢવો ?શેઠ ઈનામ આપત ા હોય તે આપણું વ્યવસ્થિત અને આપણું વ્યવસ્થિત અવળું આવે ત્યારે શેઠના મનમાં થાય કે આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ. એટલે શેઠ પગાર કાપી લે. એટલે પેલાને મનમાં એમ થાય કે આ નાલાયક શેઠિયો છે. આ નાલાયક મને મળ્યો. પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે આ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ! માટે કંઈક ભૂલ છે. શેઠિયો વાંકો નથી, આ તો આપણું ‘વ્યવસ્થિત’ ફરે છે. પુણ્યની વહેંચણી કેવી ?એટલે આ પુણ્ય છે ને તે આપણે જેમ માંગણી કરીએને, તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે આટલો દારૂ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, તો તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે મોટર જોઈએ અને ઘર ? ત્યારે કહે, બે રૂમ હશે તો ચાલશે. ઘર બે રૂમમાં એને સંતોષ હોય અને મોટર વાપરવાની મળે. આ લોકોને સંતોષ રહેતો હશે, નાની નાની છાપરડીઓમાં રહેતા હશે, તે બધાંને ? ખરો સંતોષ, તેથી તો એને એ ઘર ગમે. એ હોય તો જ ગમે. હમણે પેલા આદિવાસીને આપણે ત્યાં તેડી લાવો જોઈએ. ચાર દહાડા રાખો જોઈએ ! એમને ચેન ના પડે એમાં, કારણ કે એનો બુદ્ધિનો આશય છે ને, તો તે પ્રમાણે પુણ્યનું ડિવિઝન થાય. ટેન્ડરના બદલે આઈટમ મળે. (પા.૫૧)એ ‘સાયન્સ’ શું હશે ?દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુદ્ધિનો આશય. જે જેવું બુદ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. બુદ્ધિના આશયમાં જે ભરેલું હોય તેના બે ફોટા પડે : (૧) પાપફળ અને (૨) પુણ્યફળ. બુદ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું તે ૧૦૦ ટકામાંથી મોટા ભાગના મોટર, બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યું. તે એ બધું મેળવવા પુણ્ય એમાં ખર્ચાઈ ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુદ્ધિના આશયમાં ભર્યા. બે ચોર ચોરી કરે છે, તેમાંથી એક પકડાઈ જાય છે ને બીજો આબાદ છૂટી જાય છે. એ શું સૂચવે છે ? ચોરી કરવી એમ બુદ્ધિના આશયમાં તો બન્નેય ચોર લાવ્યા હતા. પણ એમાં જે પકડાઈ ગયો તે તેનું પાપફળ ઉદયમાં આવ્યું ને વપરાયું. જ્યારે બીજો છૂટી ગયો તેનું પુણ્ય તેમાં વપરાઈ ગયું. તેમ દરેકના બુદ્ધિના આશયમાં જે હોય છે, તેમાં પાપ અને પુણ્ય કામ કરે છે. બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો. તે એનું પુણ્ય વપરાયું તો લક્ષ્મીના ઢગલેઢગલા થાય. બીજો બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ તેમાં પુણ્ય કામે લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોઢું જ ના દેખાડે. અલ્યા, આ તો આટલો બધો ચોખ્ખેચોખ્ખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્ય વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુદ્ધિનો આશય ફેરવ. ધર્મ માટે જ બુદ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર, બંગલા, રેડિયો એ બધાની ભજના કરી તેના જ માટે બુદ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ - આત્મધર્મ માટે જ બુદ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર આશય ફેરવીને સંપૂર્ણ ૧૦૦ ટકા ધર્મ માટે જ રાખો. અમે અમારા બુદ્ધિના આશયમાં ૧૦૦ ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાંય અમારું પુણ્ય ખર્ચાયું જ (પા.૫૨)નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, છોકરી, ક્યાંય નહીં. અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે - મુક્તિને માટે નાખેલા, તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ મળ્યું છે. ઇચ્છાઓ બંધાઈ કેમની ?આ બધું તમારું જ છે. આમાં કોઈ કરનાર નથી, આ બધું તમારી ઇચ્છા પ્રમાણે જ વહેંચાયેલું છે. ઇચ્છા પ્રમાણે થયા કરે. પહેલાં જે ઇચ્છા હતી તે નવમા માઈલમાં તમારી ઇચ્છા હતી. તે આ જગત પ્રવાહરૂપે છે. તે ઇચ્છા હતી નવમા માઈલમાં અને એ ઇચ્છા ભોગવતી વખતે આવ્યા બારમા માઈલમાં, એટલે તે ઘડીએ પાછો તમને ફેર પડી જાય છે કે આ તો સાલું અહીંયા આવું જોઈતું હતું ! ઇચ્છા નવમા માઈલની, અને આવ્યા બારમા માઈલમાં ! નવમા માઈલના આધારે ઇચ્છા શું કરી ? લાંચ-રુશવત કશું જ લેવાય નહીં. લાંચ લેવા જેવી રીત જ નહીં. ખોટું કરાય જ નહીં. હવે એ સંજોગો તે દહાડે તેવા હતા, નવમા માઈલમાં. હવે બારમા માઈલમાં સંજોગો એવા હોય કે ત્યારે બધાય લાંચ લે અને આપણે એકલા જ એવા કે લાંચ ના લઈએ. તે બૈરી કહે કે બધાએ બંગલા બાંધ્યા, તમારામાં બરકત નથી. હવે બિચારો લાંચ લેવા જાય તોય લાંચ લેવાય નહીં, કારણ કે પેલી પ્રકૃતિ બંધાઈ ગયેલી છે અને મનમાં ભાવ કર્યા કરે છે કે લેવા જોઈએ, લેવા જોઈએ. તે ઊલટો આવતે ભવે ચોર થયો. આ જગત આવું છે બધું અને પૂરું સમજ્યા વગર બહુ માર ખાય છે. ત્યાં ટેન્ડર ક્યાં રહ્યું ?પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને આધીન જ હોય તો પછી ટેન્ડર ભરવાનું ક્યાં રહ્યું ? દાદાશ્રી : એ ટેન્ડર ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે ‘ટેન્ડર’ ભરો, પણ હું જાણું કે શેના (પા.૫૩)આધારે ‘ટેન્ડર’ ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી. હું ઘણા જણને મારી પાસે ‘ટેન્ડર’ ભરી લાવવાનું કહું છું પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું જે છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા, થોડું થોડું સાધારણ કામ કર. જો પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શી છે ? ઘેર બેઠા સામસામા સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાતને ખાલી સમજવાની જરૂર છે. પુણ્ય-પાપની ‘લિન્ક’ કેવી હોય ?કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, ‘હું ગમે તેટલી માથાકૂટ કરું છું તોય કશું વળતું નથી.’ એટલે હું કહું, ‘અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.’ અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, ‘હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તોય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?’ મેં એને કહ્યું, ‘એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !’ આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આનાય ના મળે ને ! એટલે પછી એણે મને પૂછ્યું કે, ‘મારે શું કરવું ?’ મેં કહ્યું, ‘દાદાનું નામ લેજે.’ હવે અત્યાર સુધી તારી લિન્ક આવી હતી. લિન્ક એટલે અંધારામાં પત્તા ઉઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઉઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, ‘વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.’ એવું કરે. તે તને ૧૦૭ સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક તને બુદ્ધુ કહેશે. માટે આ દાદાનું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ. (પા.૫૪)પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બંનેએ માંકણ મારવાની દવા પી લીધી ! તે દાદાનું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, ‘આ દાદાનું નામ લીધા કરજે, ને ફરી આવું ક્યારેય ના કરીશ.’ ત્યારે પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું. ‘દાદા’ બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતાં સુધી બોલ્યા અને સવારમાં ઊઠતાંની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય. પાપ-પુણ્યનું ગલન થાય ત્યારે ?પાપનું પૂરણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા ઉપર બેઠા હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઔર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો. પાપ કરતાં કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એય ગલન થવાનું છે. એ પૈસા બેન્કમાં મૂકશો તો તેય જવાનો તો છે જ. એનુંય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રૌદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ? પૂરણનું ગલન, સ્વભાવથી જઆ તો પૂરણ-ગલન છે. એમાં પૂરણ થાય ત્યારે હસવા જેવું નથી અને ગલન થાય ત્યારે રડવા જેવું નથી. જ્યારે દુઃખનું પૂરણ થાય ત્યારે કેમ રડે છે ? પૂરણમાં જો તારે હસવું હોય તો હસ. પૂરણ એટલે સુખનું પૂરણ થાય તોય હસ અને દુઃખનું પૂરણ થાય તોય હસ. પણ આમની (પા.૫૫)ભાષા જ જુદી છે ને ! ગમતી ને ના ગમતી બે રાખે છે ને ! સવારે ના ગમતી હોય તેને સાંજે ગમતી કરે પાછો ! સવારમાં કહેશે, ‘તું અહીંથી જતી રહે’ અને સાંજે એને કહેશે, ‘તારા વગર મને ગમશે નહીં !’ એટલે ભાષા જ અનાડી લાગે છે ને ! જગતનો નિયમ જ એવો છે કે પૂરણ થાય એનું ગલન થયા વગર રહે નહીં. જો બધા જ પૈસા ભેગા કર કર કરતા હોય તો મુંબઈમાં કોઈ પણ માણસ બૂમ પાડી શકે કે ‘હું સહુથી શ્રીમંતમાં શ્રીમંત છું’ પણ એવું કોઈ ધરાયેલો બોલતો નથી કારણ કે નિયમ જ નથી એવો ! ભોગવટો, રૂપિયાનો કે વેદનીયનો ?કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તોય શાતા ભોગવશે ને રૂપિયા હશે તોય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો. જરૂર કઈ, મહીંલી કે બાહ્યલી ?અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, ‘હેંડો, ભગવાનના દર્શન કરી આવીએ !’ અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! ‘અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !’ ત્યારે કહેશે કે, ‘ના, એ તો મહીં રકમ ઓછી થાય ને !’ ‘‘ત્યારે. અલ્યા, તું રકમ કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, મૂડી તો ‘મહીં’ બેઠી છે, એને શું કરવા હાર્ટ ફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે?’’ હાર્ટ ફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ? પ્રશ્નકર્તા : થઈ જાય. (પા.૫૬)દાદાશ્રી : ત્યારે આ બધું શેના હારુ ? ત્યારે પેલી કહે કે ‘પણ મારે તો પેલી પૈસાની મૂડી કિંમતી છે !’ અલ્યા, તમારે મહીંલી મૂડીની જરૂર નહીં ? પાપાનુબંધી પુણ્યદસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે ‘હવે હું આધ્યાત્મિક જીવન જીવું ! ત્યારે હવે એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યનું નાણું જોઈશે. જેમાં અપ્રામાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જ સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એય પુણ્યનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે ! એના કરતાં એ લક્ષ્મીને કહીએ કે, ‘તું આવીશ જ નહીં, એટલેથી જ છેટી રહેજે.’ એમાં અમારી શોભા સારી છે ને તારીય શોભા વધશે.’ આ બંગલા બંધાય છે એ બધુંય પાપાનુબંધી પુણ્ય ઊઘાડું દેખાય છે. આમાં અહીં કો’ક હશે, હજારે એકાદ માણસ કે જેની પુણ્યાનુબંધી પુણ્ય હોય. બધી આ પાપાનુબંધી પુણ્ય છે. આટલી લક્ષ્મી તો હોતી હશે કોઈ દહાડોય ? નર્યું પાપ જ બાંધે છે. કશું ભોગવતાં-કરતાં નથી ને પાપ જ બાંધે છે. આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લઈને આવેલો છે ! એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરજસ્ત પુણ્ય હોય છે તો પણ મહીં અંતરદાહ શમાતો નથી; અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે ! ચોગરદમથી બધા ફર્સ્ટ કલાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ હોય, તે હવે કેમ મટે ? પુણ્ય પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુણ્ય ખલાસ થાય એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંતરદાહ છે. પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે તે ઘડીએ તારી શી દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે. લક્ષ્મી તો ‘ચલતી’ ભલીઆ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી (પા.૫૭)ગલન થવાનું. ને ગલન ના થાત ને તોય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલે પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું એ ઉચ્છવાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ-ગલન સ્વભાવનું છે એટલે અમે શોધખોળ કરી છે કે ‘ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં !’ ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે. ભીડ નહીં, ભરાવો નહીંઅમારા ગામમાં અમને સત્સંગ માટે બોલાવેલા, તે ત્યાં અમે સત્સંગ કરતા હતા. તે એક ભાઈ ગામના ખરાને, તે પિતરાઈ થાય, તે આડું બોલે. એવું બોલ્યા કે, ‘તમે નીચે દબાવીને બેઠા છો, મોટી રકમ ખૂબ દબાવીને બેઠા છો, તે હવે સત્સંગ નિરાંતે થાય જ ને !’ હું સમજી ગયો કે આ પિતરાઈના ગુણથી બોલ્યો છે. એને સહન થાય નહીં ને ! પછી મેં કહ્યું કે, ‘હું શું દબાવીને બેઠો છું તે તમને શું ખબર પડે ? બેન્કમાં શું છે તે તમને શું ખબર પડે ?’ ત્યારે કહે છે, ‘અરે, દબાવ્યા વગર તો આવું નિરાંતે સત્સંગ થાય જ શી રીતે ?’ મેં કહ્યું કે ‘બેન્કમાં જઈને તપાસ કરી આવો.’ મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કંઈ ને કંઈ બોમ્બ (વ્યવહાર) આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડો અને ભીડ પણ પડી નથી. બાકી કશું દબાવ્યું-કર્યું નથી. કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાય ને ? એવું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું ! ભરાવો થાય તો બહુ ઉપાધિ થાય. પાછા બેન્કમાં મૂકવાનું ને બધી ઉપાધિ. પાછા સાળા આવે કે, ‘તમારી પાસે તો ઘણા બધા રૂપિયા છે, તે દસ-વીસ હજાર આપો.’ પાછા મામાનો દીકરો આવે, પાછો જમાઈ આવે કે, ‘મને લાખ રૂપિયા આપો.’ મહીં ભરાવો હોય તો કહે કરે ને ? પણ ભરાવો જ ના હોય તો ? ભરાવો થયા પછી લોકોને કકળાટ થાય. (પા.૫૮)ભરાવો કરાવે ઉપાધિમને લોકો આવીને કહી જાય કે ‘જુઓને, અમારા જમાઈ આવ્યા તે લાખ રૂપિયા માંગે છે. જમાઈ તો આને માટે આવી પડ્યા છે. તે બધાંને આપઆપ કરું તો મારી પાસે શું રહે ?’ એની વાતેય ખરી છે ને ? બધાને આપ આપ કરે તો એની પાસે કશું રહેય નહીં ને ! એટલે ભરાવો થયો તો લેવા આવ્યા ને ! હવે ત્યાં એની જોડે જમાઈ ઝઘડો માંડે, ગાળો ભાંડે ! ત્યારે છેવટે કહેશે, ‘મારી પાસે પૈસા વધારે નથી. લો, આ વીસ હજાર લઈ જાવ ને હવે પાછા ના આવશો.’ અલ્યા, આપવા હતા ત્યારે કકળાટ કરીને આપ્યા તેના કરતાં સમજાવીને તો આપવા હતા ને ! નહીં તો એક ફેરો જૂઠું બોલીએ કે, ‘આ બધા લોકો કહે છે કે મારી પાસે દસ લાખ આવ્યા છે, પણ મારું મન જાણે છે કે કેટલા આવ્યા છે !’ એમ તેમ કરીને જૂઠું બોલીને પણ જમાઈને સમજાવી દઈએ કે જેથી લઢવાડ તો ન થાય ને ! ઝઘડોય ના થાય, પણ એવું આવડે નહીંને ! અને પછી પેલો જમાઈ તો લાખ માટે ચોંટે, વીસ હજાર લઈ જાય નહીં. એટલે આ વધારે રૂપિયા લાવ્યા તે પછી ભઈ જોડે વઢે, સાળા જોડે વઢે, જમાઈ જોડે વઢે. વધારે રૂપિયા આવ્યા તો વધારે વઢવાડ હોય. પૈસા ના હોય ત્યારે બધાં ભેગાં બેસીને ખાય પીવે ને મજા કરે. એવું છે આ પૈસાનું કામ! માટે ભરાવો થાય તેય ઉપાધિ અને ભીડ ના પડે એટલે બહુ થઈ ગયું. આ જુઓ નોટો ગણનારાને તાદ્રશ્યઆ શરીરમાંય ભીડ પડે ત્યારે માણસ કંતાઈ જાય અને ભરાવો થાય ત્યારે સોજો ચઢે. સોજો ચઢે ત્યારે એ જાણે કે હું હવે જાડો થયો. અલ્યા, આ તો સોજા ચઢ્યા છે ! એટલે ભરાવો ના થાય તે ઉત્તમ અને એના જેવું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. ભેગા થાય તો ગણવાની ભાંજગડ થયા કરે ને ! દસ હજાર રૂપિયા હોય, તો રૂપિયે રૂપિયે દસ હજાર ગણવા જાય, તો ક્યારે પાર આવે ? એ પછી એક કે બેની ભૂલ આવી તો ફરી પાછા ગણે. બરોબર ગણી રહે પછી સૂઈ જાય. ત્યારે એક જણ મને કહે કે, ‘તમે શું કરો ?’ મેં કહ્યું કે, ‘આ તો દસ હજારની વાત કરે છે, પણ સોની નોટના છૂટા કો’ક દુકાનેથી લેવાના હોય, તો દુકાનદાર કહેશે, (પા.૫૯)‘સાહેબ, ગણી લો.’ હું કહું કે, ‘તમારા પર મને બહુ વિશ્વાસ છે.’ વખતે નવ્વાણું હશે તો ત્યારે રૂપિયો તો ગણવાની મહેનતનો જાય, પણ એ ગણવામાં ટાઈમ બળ્યો જતો રહે ને ! એટલે ભલે રૂપિયો ઓછો હશે પણ ભાંજગડ નહીં ને ! એટલે હું કોઈ દહાડોય રૂપિયા ગણતો જ નથી. સોની નોટમાં તો સો રૂપિયા હોય અને ગણતાં ગણતાં તો દસ મિનિટ જતી રહે. પાછા જીભને અંગૂઠો આમ અડાડ અડાડ કરે ! એ એનાં કરતાં બે રૂપિયા ઓછા હશે તો ચાલશે. તેમાં પાછા જો એક-બે ઓછા હોય ને, તો સો રૂપિયા છૂટા આપનાર જોડે લઢી પડે કે, ‘આ તમે સો આપ્યા પણ પૂરા નથી. આમાં તો બે ઓછા છે.’ ત્યારે પેલો કહેશે કે, ‘તમે પાછા ગણો. અમથા કચકચ ના કરશો. વધારે માથાકૂટ ના કરશો, નહીં તો લાવો મારા રૂપિયા પાછા.’ ત્યારે પેલો પાછા ના આપે ને ફરી ગણવા બેસે ! અલ્યા, લેતી વખતે કકળાટ, કો’કને આપે ત્યારેય કકળાટ ને કકળાટ !! આવ્યો ત્યારે ઊંવા-ઊંવા કરે અને જતી વખતે ‘ડૉક્ટર સાહેબ, મને બચાવજો, બચાવજો !’ કરશે. ક્યારે તું કકળાટ વગરનો રહ્યો છે તે ! તારો એક દહાડોય આનંદમાં નથી ગયો ! છતાં પોતે પરમાત્મા છે. એ કકળાટ કરે, પણ આપણે તો દર્શન કરવાં પડે ને ! એવું આ જગત છે. એટલે ભીડ ના પડે ને ભરાવો ના પડે, એ સારામાં સારું. શું પોષાય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ?એક બેન કહેતાં હતાં કે, ‘આ સાલ આટલો બધો વરસાદ પડે છે, તો આવતી સાલ શું થશે ? પછી ભીડ પડશે.’ લોક ભીડમાં ય આશા રાખે છે કે આ સાલ તો બે-ત્રણ લાખ રૂપિયા આવી જાય તો સારું. અલ્યા, હવે પછી તો બધાં વર્ષોમાં દુકાળ પડશે ! માટે આશા ના રાખીશ. લક્ષ્મીનો વરસાદ સામટો પડી ગયો, હવે તો પાંચ વર્ષ સુધી દુકાળ પડશે. એનાં કરતાં એના જે હપ્તાથી આવે છે ને એ હપ્તાથી આવવા દે એ બરાબર છે. નહીં તો આખી મૂડી આવશે તો બધી વપરાઈ જશે. એટલે આ હપ્તા બાંધેલા છે તે બરાબર છે. આપણે તો સામાને સંતોષ થાય તેવું કરવું. ‘વ્યવસ્થિત’ જેટલી લક્ષ્મી મોકલે તેટલો સ્વીકાર કરવો. ઓછી આવે ને દિવાળી પર બસ્સો-ત્રણસો ખૂટી પડ્યા તો આવતી દિવાળીએ વધારે વરસાદ પડશે. માટે એનો વાંધો રાખવો નહીં. (પા.૬૦)લક્ષ્મી ખૂટે શાથી ?પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ? દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય ? ‘બહુ ચોખ્ખો માલ છે’ કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે ‘આવું તો કરાતું હશે ?’ તો એ કહે કે, ‘એ તો એમ જ કરાય.’ પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે ‘મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે પણ માલ આવો છે એ લઈ જાવ.’ આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં. એટલે આ બધા ક્યાં સુધી પ્રામાણિક છે ? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી. જો એને કાળાબજારનો અધિકાર પ્રાપ્ત થાય, ત્રણ ગણાં નાણાં ઊપજે અને વેચવાનો માલ પાંચ-પચ્ચીસ હજારનો પડ્યો હોય. હવે એ અધિકાર એને વેચવાનો છે અને લેનાર ઘરાક ઘેર બેઠાં આવતા હોય અને કોઈ મુશ્કેલી ના હોય, પેલા લઈ જનારા શું કહે ? કે જવાબદારી અમારી, કહેશે. ત્યારે તું પાંસરો રહે તો હું જાણું. મન-વચન-કાયાથી કિંચિત્ ચોરી કરે તે ઘણીય મહેનત કરે તોય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે, ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય, તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રામાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ ? ત્યારે કહે મનુષ્યપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો એ તેય હિન્દુસ્તાનમાં. આને મોટામાં મોટી સિદ્ધિ કહી, કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય. (પા.૬૧)લક્ષ્મીજી શું કહે છે ?પ્રશ્નકર્તા : આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ? દાદાશ્રી : એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચાર કરે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન-વચન-કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે. તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, ‘તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઈમાં મળશે.’ અને જો કહે કે, ‘મારે પૈસા નથી જોઈતા એય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારેય નહીં ને ઇચ્છાય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમને તો વિનય રાખવો જોઈએ. કારણ કે એ તો હેડ ઑફિસમાં છે. લક્ષ્મીજી કહે છે કે, ‘જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધા જ ટાઈમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ, બીજું લક્ષ્મીજી શું કહે છે કે, ‘તારે મોક્ષે જવું હોય તો હક્કની લક્ષ્મી મળે તે જ લેજે. કોઈનીય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઈશ. કયા કાયદાઓથી લક્ષ્મી ?પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ? દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લક્ષ્મીજી ધોને ? બધાય ધૂએ છે ! ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે ? પ્રશ્નકર્તા : ના દાદા, ત્યાં કોઈ લક્ષ્મીજીને ધોતું નથી. (પા.૬૨)દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ? એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? દહીંમાંય ધૂએ છે અહીં હિન્દુસ્તાનમાં. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને, કોઈ કાચા નથી. મનેય લોકો કહેવા આવે કે, ‘તમે લક્ષ્મીજી ધોઈ કે નહીં ?’ મેં કહ્યું, ‘શાના માટે ? આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે, પધારજો. એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે ‘અમારે એની જરૂર નથી.’ તમેય ઘેર રાત્રે જઈને બોલજો કે ‘હે લક્ષ્મીજી દેવી, તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે મારે ઘેર આવજો અને જ્યારે અનુકૂળ હોય ત્યારે જજો. પણ આ ઘેર આવજો. તમે ધ્યાન રાખજો’, એવું કહેવાયને ? પ્રશ્નકર્તા : આવતાં-જતાં રહેજો. દાદાશ્રી : ના, એવું નહીં. ‘આ ઘર તમારું છે. જ્યારે અનુકૂળ આવે ત્યારે આવજો. અમારી ઇચ્છા છે કે આવજો.’ એટલું બોલીને પછી સૂઈ જવાનું. શુદ્ધાત્માનું ધ્યાન કરતાં કરતાં પછી એમાં સંકલ્પ-વિકલ્પ કરે તો ભયંકર દોષ બેસે. પછી કેસ ઊંચો મૂકી દેવાનો. એ ગૂંચવાડો રહ્યો નહીં ને કોઈ ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : થયું ત્યારે, બસ. લક્ષ્મીજીને આંતરાય ?અમને તો લક્ષ્મીજી ક્યારેય સાંભરે નહીં. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યા હોય તેને. પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. આપણામાં કહેવત છે ને કે ‘બાબો હશે તો વહુ આવશે ને !’ ‘નારાયણ’ છે ત્યારે લક્ષ્મીજી આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલા આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં (પા.૬૩)જાહોજલાલીની શી ખોટ ? લક્ષ્મીજી કોઈની આંતરી આંતરાય તેમ નથી. લક્ષ્મીજી તો ભગવાનની પત્ની છે. તેનેય મૂઆ, તું આંતર આંતર કરે છે ? પહેલા આણામાં આવેલી વહુને જો આંતરી હોય ને પછી પિયર જવા ના દે તે શી દશા થાય બિચારીની ? તેવું લોકોએ આ લક્ષ્મીજી માટે કરવા માંડ્યું છે. તે લક્ષ્મીજીય હવે કંટાળ્યાં. એને તરછોડ કેમ મરાય ?બીજી વાત એ કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે ‘હમકો નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા.’ એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજા કેટલાય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો ‘વીતરાગ’ છે, ‘અચેતન વસ્તુ’ છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે તેનો મેળ નહીં ખાય. અમે ‘અપરિગ્રહી છીએ’ એવું બોલીએ, પણ ‘લક્ષ્મીજીને ક્યારેય નહીં અડું’ તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું ‘નાક’ કહેવાય. ‘વ્યવસ્થિત’ના નિયમના આધારે બધાં દેવદેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય. એ તરછોડનાં પરિણામ શાં ?લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને ‘નહીં, નહીં, નહીં’ કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ. નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઈ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શનેય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે એ તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાંય ‘જય સચ્ચિદાનંદ’ ને જતાંય ‘જય સચ્ચિદાનંદ’ કરીએ છીએ. ‘આ ઘર તમારું છે. જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો’, એમ વિનંતી કરવાની હોય. અમને લક્ષ્મીજી કહે છે, ‘આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે. તે એમના પગ છોલાઈ ગયા છે. તે પાછળ દોડે છે ત્યારે બે-ચાર (પા.૬૪)વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું, આમાં તો ઢીંચણ છોલાય છે. પણ ત્યારે ફરી ઈશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે. એટલે એમને અમારે માર-માર કરવાના છે. એમને બધે છોલીને લોહીલુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢ્યા છે છતાં સમજણ નથી ખૂલતી !’ બહુ પાકાં છે લક્ષ્મીજી તો ! ત્યાં લક્ષ્મીજીય કંટાળ્યાં...તે હવે મને એ કહે છે કે હું તો આ શેઠિયાઓને ત્યાં ખૂબ જ કંટાળી છું. તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ. કારણ જ્યારે તમારા મહાત્માઓને ત્યાં જાઉં છું. ત્યારેય ફૂલહાર લઈને સ્વાગત કરે છે અને પાછી જાઉં ત્યારેય ફૂલહાર પહેરાવીને વિદાય આપે છે. જે જે લોકો મને આંતરે છે ત્યાં હવે હું નહીં જાઉં અને જે જે મારો તિરસ્કાર કરે છે ત્યાં તો અનંત ભવ સુધી હું નહીં જઉં ! લક્ષ્મી તો આવે ને દસ વરસ પછી તે ના રહે. એ તો ફેરફાર થયા જ કરે, સમસરણ થયા કરે. લક્ષ્મીજી માટે નિઃસ્પૃહી થાય ?લક્ષ્મી માટે કેટલાક લોકો નિઃસ્પૃહી થઈ જાય છે, તો એ નિઃસ્પૃહ ભાવ કોણ કરી શકે ? જેને આત્માની સ્પૃહા હોય તે જ નિઃસ્પૃહભાવ કરી શકે. પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય ? એટલે એકલો નિઃસ્પૃહ થાય. અને એકલો નિઃસ્પૃહી થયો તો તો રખડી મર્યો ! માટે સસ્પૃહી-નિઃસ્પૃહી હોય તો મોક્ષે જશે. અમે લક્ષ્મીના વિરોધીઓ નથી કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ. લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારેય પાછી ભેગી જ ના થાય નિઃસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે. ત્યાં જ્ઞાનીને કેવું વર્તે ?અમે સસ્પૃહ-નિઃસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિઃસ્પૃહ હતા. તે તેમના ચેલા નિઃસ્પૃહ થઈ ગયા છે ! જરૂરિયાત ઊભી થાય તે પ્રમાણે કામ લેવું. (પા.૬૫)પ્રશ્નકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું. દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિઃસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી-નિઃસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો, પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંત બુદ્ધિ ‘સત્ય’નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે જરાક થિયરી ઓફ રિલેટીવિટીમાં રહે, તેનો વાંધો નથી પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઈને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઈના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછા આપી દેવાના. રોજ ભાવ કરવા જોઈએ કે આપી દેવા છે, તો તે અપાશે જ. બંને ફીવર નહીં તો શું ?ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બિલો નોર્મલ આવે તો પણ ફીવર અને એબોવ નોર્મલ પણ ફીવર છે. એબોવ નોર્મલ તો ફીવર વધારે છે. પણ બંને રીતના સ્ટેજીસમાં લક્ષ્મી ફીવર સ્વરૂપ થઈ પડે છે. કાળાં નાણાંનાં પરિણામ શાં ?પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને ? દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્ધ્યાન કરાતાં હશે ? આ નાહવાનુંય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નાહવા માટે ધ્યાન નથી બગાડતા ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાંય ધ્યાન બગાડે છે. પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી (પા.૬૬)થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની ‘પોતાની’ નથી. આ તો માત્ર નૈમિત્તિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઇચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ? આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઊતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલનાં પાણી જેવું છે. તે રોમે રોમે કૈડી(કરડી)ને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો. લક્ષ્મી, મેઈન પ્રોડક્શન કે બાય પ્રોડક્શન ?જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો શરૂ ના થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે. આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી માલ લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને ? આનાથી સુખ કંઈ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઈન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે, પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો. ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરનેય મળે પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઈ છે. તેથી આ બાય પ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય. મેઈન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન ‘જ્ઞાની પુરુષ’ પાસેથી પ્રાપ્ત કરી લે. પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા, દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય ! જ્ઞાનીકૃપા શું ના કરે ?આ તો લોક આર્તધ્યાન ને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો આટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે (પા.૬૭)અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ઉપયોગ કરે છે. એ તો પહેલાંની પુણ્ય જો હશે તો જ મળશે. આ ‘દાદા’ની કૃપાથી તો બધું ભેગું થાય. કારણ શું ? તેમની ‘કૃપા’થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી. તે અંતરાયો ‘અમારી’ કૃપાથી તૂટે તે પછી બધું ભેગું થાય. ‘દાદા’ની કૃપા તો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના એ સર્વ પ્રકારના દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય. ગણનારા ગયા ને પૈસા રહ્યાઆ ભૌતિક સુખ કરતાં અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ વળે. આ લૌકિક સુખ તો અજંપો વધારે ઊલટો ! જે દહાડે પચાસ હજારનો વકરો થાય ને, તે ગણી ગણીને જ મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો એટલું બધું અકળામણવાળું થઈ ગયું હોય કે ખાવાપીવાનું ગમે નહીં. કારણ કે મારેય વકરો આવતો હતો, તે મેં બધો જોયેલો, આ મગજમાં કેવું થઈ જતું તે ! આ તો મારા અનુભવની બહાર નથી ને કંઈ ? હું તો આ સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું. એટલે હું બધું જાણું છું કે તમને શું થતું હશે ? વધારે રૂપિયા આવે ત્યારે વધારે અકળામણ થાય, મગજ ડલ થઈ જાય ને કશું યાદ ના રહેય અજંપો, અજંપો, અજંપો રહ્યા કરે. આ તો નોટો ગણ ગણ કરે, પણ એ નોટો અહીં ને અહીં રહી ગઈ બધી ને ગણનારા ગયા ! તોય કહે છે કે, ‘તારે સમજવું હોય તો સમજી લેજે, અમે રહીશું ને તું જઈશ !’ માટે આપણે એની જોડે કંઈ વેર નથી બાંધવું. પૈસાને આપણે કહીએ, ‘આવો બા’ એની જરૂર છે. બધાંની જરૂર તો છે ને ? પણ એની પાછળ જ તન્મયાકાર રહે ! તો ગણનારા ગયા અને પૈસા રહ્યા. છતાં ગણવું પડે તેય છૂટકો જ નહીં ને ! કો’ક જ શેઠિયો એવો હોય કે મહેતાજીને કહે કે ‘ભઈ, મને તો ખાતી વખતે અડચણ કરશો નહીં. તમારા પૈસા નિરાંતે ગણીને તિજોરીમાં મૂકવા ને તિજોરીમાંથી લેવા. એમાં ડખો ના કરે એવો કો’ક શેઠિયો હોય ! હિન્દુસ્તાનમાં એવા બે-પાંચ શેઠિયાઓ નિર્લેપ રહે એવા હોય ! તે મારા જેવા !! હું કોઈ દહાડો પૈસા ગણું નહીં. આ શું (પા.૬૮)ડખો ? આ લક્ષ્મીજીને આજે મેં વીસ-વીસ વર્ષથી હાથમાં નથી ઝાલ્યાં તો જ આટલો આનંદ રહે ને ! લક્ષ્મીજીનો વ્યવહાર છે ત્યાં સુધી પણ એની જરૂર રહે છે, તેની ના નથી. તેની મહીં તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ, લક્ષ્મીજી એકલાની પાછળ પડીએ તો નારાયણ ચિઢાયા કરે. લક્ષ્મીનારાયણનું તો મંદિર છે ને ? લક્ષ્મીજી કંઈ જેવી તેવી વસ્તુ છે ? તમને ગમી કંઈ આ વાત ? રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે આટલા ખર્ચાઈ ગયા !! પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું તેથી પૈસા વાપરવાનું કહેલું, કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય. ભગવાને કહ્યું કે હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય તો કાલે મરી જઈશ એવો હિસાબ માંડ ને ! એનીયે એક્સપાયરી ડેટરૂપિયાનો નિયમ કેવો છે કે અમુક દિવસ ટકે ને પછી જાય, જાય ને જાય જ. એ રૂપિયો ફરે ખરો. પછી એ નફો લઈ આવે, ખોટ લઈ આવે કે વ્યાજ લઈ આવે, પણ ફરે ખરો. એ બેસી ના રહ. એ સ્વભાવનો જ ચંચળ છે. એટલે આ ઉપર ચઢેલો તે પછી ઉપર એને ફસામણ લાગે. ઊતરતી વખતે ઊતરાય નહીં, ચઢતી વખતે તો હોંશે હોંશે ચઢી જવાય. ચઢતી વખતે તો હોંશમાં આમ ઝાલી ઝાલીને ચઢે, પણ ઊતરતી વખતે તો પેલી બિલાડી મોઢું માટલીમાં ઘાલે, જોર કરીને ઘાલે ને પછી કાઢતી વખતે કેવું થાય ? તેવું આમાં થાય. આ અનાજ છે તે ત્રણ-પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં. (પા.૬૯)અગિયાર વરસે પૈસા બદલાય, પચીસ કરોડનો આસામી હોય પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની ‘એક્સપાયરી ડેટ’ લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય છે. પ્રશ્નકર્તા : આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ? દાદાશ્રી : આજે ’૭૭ની સાલ થઈ તો આજે આપણી પાસે ’66 પહેલાંની લક્ષ્મી ના હોય. પ્રશ્નકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ? દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય, તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય. નાદારીથી કેવી રીતે બચાય ?લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨૦૦ વર્ષ પહેલાંના વાણિયા હતા. તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે, પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની ‘સિસ્ટમ’ હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થાય ? અત્યારના વાણિયાને તો આવું કશું આવડતુંય નથી. આપણી હિન્દુસ્તાનની જણસોમાં કશો ભલીવાર રહેતો જ નથી. જડતરમાં ૭૫ ટકા જ સોનું રહે. એ વાસ્તવિકતાથી વિમુખ થવાય ?પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી. આ લક્ષ્મી કેવી છે ? એક પેઢીયે ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે. એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં (પા.૭૦)પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કર. અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય. નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે ને, આપણે છોકરાઓને કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, ‘તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ’ એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું ! આ દુનિયાને યથાર્થ - જેમ છે તેમ - જાણીએ તો જીવન જીવવા જેવું છે, યથાર્થ જાણીએ તો સંસારી ચિંતા-ઉપાધિ હોય નહીં. એટલે જીવવા જેવું લાગે પછી ! (૨) લક્ષ્મી સંગે સંકળાયેલો વ્યવહાર(પા.૭૧)તો પાછલી પેઢીનું કેમ નહીં ?પ્રશ્નકર્તા : ઘરમાં બહુ ખર્ચા થઈ જાય છે. દાદાશ્રી : ઘરવાળા ક્યાં કહે છે કે ખર્ચ કરો ? તમારે જરૂર હોય તેથી કરો છો ને ? પ્રશ્નકર્તા : એ તો હિસાબમાં લાગે તે જ કરું છું. દાદાશ્રી : હા, પણ પછી ત્યારે શું કરવું મહીં ? ટકે એવું કરવું છે ? પ્રશ્નકર્તા : જે ખર્ચા લાગે તે લાગવાના જ છે. આગળની પ્રજા માટે કંઈક રાખવું જોઈએ ને ? તેના માટેની વાત છે. દાદાશ્રી : અહોહો ! અને પાછલી પેઢીઓવાળા માટે ? ગયા તે લોકો માટે કશુંય નહીં ? તમારા દાદા ને બધા ગયા, એમને ત્યાં મોકલવું નહીં પડે ને ? પ્રશ્નકર્તા : ત્યાં મોકલવાનું કંઈ કારણ નથી. દાદાશ્રી : પાછલી પેઢીવાળા એમ કહે છે કે અમારા હારુ તૈયાર કરો ! ત્યારે તો તમારી ખાનદાની બતાવો છો કે નહીં ? પ્રશ્નકર્તા : દીકરા સારા છે. બધા કામ કરે છે. દાદાશ્રી : તો પચાસેક લાખ રૂપિયા આપીને જાવને ! વધારે નહીં. પ્રશ્નકર્તા : નહીં, પૈસા નહીં આપી જવાના. બધાંનાં મન સુખ-શાંતિથી રહે એવું. બીજું કંઈ જોઈતું નથી. પૈસા માટે શું છે ? (પા.૭૨)દાદાશ્રી : હા, એ બરોબર છે. કશું જોડે લઈ જવાના ?દાદાશ્રી : કોનું મકાન છે આ ? તમારું પોતાનું ? આવડું મોટું મકાન ? તે તમે શું કરો છો ? બીજો, ત્રીજો માળ બધું એમનું એમ જ ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : માણસો કેટલા ? પ્રશ્નકર્તા : ચાર. દાદાશ્રી : આ સૂના ઘરમાં બીજા ત્રણ જ જણા ? અને સંડાસ કેટલાં ? પ્રશ્નકર્તા : પાંચ, શાંતિનું સ્થાન જ એ છે. દાદાશ્રી : જરા વૈરાગ્ય આવવાનું સ્થાન હતું, તેને આ લોકોએ વૈરાગ્ય ઊડી જાય એના માટે રસ્તો કરી આપ્યો. વૈરાગ્ય આવવાનું એટલું જ સ્થાન હતું આ કાળમાં, તે એમ ને એમ ઉડાડી દીધું. જ્યાં વૈરાગ્ય આવવાની ભૂમિકા હતી ત્યાં જ ઊંઘે છે લોકો, સિગારેટ પીને ! પ્રશ્નકર્તા : બબ્બે લાખ રૂપિયાનાં આલીશાન જાજરૂ બનાવ્યાં છે લોકોએ ! દાદાશ્રી : એ તો મેંય મુંબઈમાં જોયેલું ને ! મને એના એ જ લોકોએ બતાડેલાં કે દાદા, આ આવું બનાવ્યું છે. મેં કહ્યું, ‘હશે, હવે જે કર્યું એ કર્યું. મેલ છાલ હવે. એ તો અહીંને માટે કર્યું. ત્યાં લઈ જવા માટે શું કર્યું ? એ મને કહે. અહીંની સેફ સાઈડ કરી, પણ ત્યાં લઈ જવાની ? ભાન, હિતાહિતનુંભગવાને આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે એમ કહ્યું છે. માટે આવા મોટા ભારે શબ્દ મૂક્યા ? ત્યારે કહે છે, ‘છે આંખ ઉઘાડી પણ એનું પોતાનું હિતાહિતનું એને પોતાને ભાન નથી. આ લોકનું હિત તો (પા.૭૩)કરતો નથી પણ પરલોકનુંય હિત કરતો નથી. આ લોકનું હિત જે ના કરે એનું પરલોકનું હિત થાય જ નહીં. આ લોકનું હિત કરે એનું જ પરલોકનું હિત થાય. એટલે હિતાહિતના ભાન રહિત, ઉઘાડી આંખેય ! પૈસા કમાવાના શાને ?પ્રશ્નકર્તા : પૈસા કમાવાની જરૂર શા માટે ? દાદાશ્રી : એવું છે ને કે વ્યવહાર શેનાથી ચાલે છે ? એટલા હારુ. વ્યવહાર પૈસાથી ચાલે છે. એટલે અત્યારે આપણે ખેતીવાડી કરતા હોઈએ, બધુંય પાકતું હોય, ખાવાલાયક બધુંય, છતાંય મીઠું લાવવું પડે, કપડાં લાવવાં પડે તેનું શું થાય ? એટલે થોડું વેચીને એને બદલે બીજું લાવી દઈએ એટલે વ્યવહાર ને ! પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર પૂરતું. દાદાશ્રી : હા, એક વસ્તુ એવી નક્કી કરો કે આ તમારે વધારે સરપ્લસ હોય તો આ લઈ લો. તો તમારે જે જોઈતું હોય તે મળશે. અને પૈસા તો કમાવાની જરૂર, પણ એવી પુણ્ય લઈને જ આવેલો છે. કોઈ કમાઈ શકે નહીં. પુણ્ય લઈને આવેલો છે એટલે સંજોગ સારાં થઈ જાય. જેટલા સંજોગ સારા થઈ જાય એટલા પૈસા મળી આવે. અહો ! બ્રહ્માંડના માલિકઆ સત્ય હશે તે બધું સાપેક્ષ છે, સૌ સૌને આધીન. તમે છે તે પૈસા ખોળવાવાળા, કમાવામાં નાખો અને હું તો પૈસા અડું જ નહીં. પૈસા સંપૂર્ણ સત્ય નથી, એ સાપેક્ષ છે. આ સોનું મને આપો તો કામનું જ નહીં ને ! અમને ભીખ ના હોય. ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ હોય, માનની ભીખ હોય, ત્યાં ભગવાન હોય જ નહીં. અહીં મિલકત હોય તેને એટલી જ મિલકત અને તેય આખી મિલકત ના હોય ને, અહીં અમુક આટલો જ ભાગ મિલકતનો રહ્યો હોય અને અહીં કોઈ મિલકત નહીં હોય તો આખા બ્રહ્માંડની મિલકત એની પોતાની. એટલે અમારે તો કોઈ મિલકતનો માલિક હું નથી. હીરાબા માલિક, હું નહીં. આ મનના માલિક નથી, આ વાણીના માલિક નથી રહ્યા. (પા.૭૪)પૈસાનો વહીવટ બધો અમે અમારા ભાગીદારને સોંપી દીધેલો. મારી પાસે તો પૈસા આવે તો બીજા દહાડે રહે નહીં. એક લાખ હોય તો બે-ત્રણ દહાડા પછી દસેક હજાર પડ્યા હોય ! એટલે ભાગીદાર સમજી ગયેલા કે આમની જોડે પૈસા હાથમાં રહેતા નથી. મારી પાસેથી એમણે વહીવટ જુદો કરી દીધો ! પુણ્ય પણ પાપાનુબંધીપ્રશ્નકર્તા : એ પૈસા ક્યાંથી આવતા હશે ? દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને ? પ્રશ્નકર્તા : એ પૈસા પુણ્યશાળી પાસે હોય એવું કંઈ નથી. દાદાશ્રી : ત્યારે પાપી પાસે પૈસા હોય નહીં. પ્રશ્નકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે. દાદાશ્રી : પાપી પાસે નથી, હું આપને સમજાવું બરોબર. તમે મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં. કાળા બજારનોય ના અડે કે ધોળા બજારનોય ના અડે. પુણ્ય વગર તો ચોરીનોય પૈસો આપણને ના અડે. પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તમે કહો છો તો પાપ, તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે. ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં, આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં જાય છે. પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે. એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય. લક્ષ્મી પધારે, નોબલને ત્યાંશું કર્યું હોય તો શ્રીમંતાઈ આવે ? લોકોને માટે કેટલી બધી હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહીં તો લક્ષ્મી આવે નહીં. (પા.૭૫)લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી વાપરે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પછી ત્યાં જ ઊભી રહે. પ્રશ્નકર્તા : આપે લખ્યું છે કે જે કમાય છે તે મોટા મનવાળો જ કમાય છે. આપવા-લેવામાં જે મોટું મન રાખે એ જ કમાણી કરે છે, બાકી સાંકડા મનવાળો કમાતો જ નથી કોઈ દહાડો ! દાદાશ્રી : બધા અરધા ચંપલવાળા થઈને ફર્યા કરે છે ને ! મેં ભૂલેશ્વરમાં બહુ જોયેલા. માપેલા બધાને ! બધી રીતે નોબલ હોય તો લક્ષ્મી ત્યાં જાય. આ પાજી પાસે લક્ષ્મી જતી હશે ? પ્રશ્નકર્તા : એટલે પુણ્યને લીધે માણસ ધનવાન બને ? દાદાશ્રી : ધનવાન થવા તો પુણ્ય જોઈએ. પુણ્ય હોય તો પૈસા આવે. પ્રશ્નકર્તા : પૈસા માટે તો લખ્યું છે ને કે બુદ્ધિની જરૂર પડે. દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો-તોટો બે જ દેખાડે. જ્યાં જાવ ત્યાં નફો-તોટો એ દેખાડી દે. એ કંઈ પૈસા-બૈસા આપતી નથી. બુદ્ધિ જો પૈસા આપતી હોય ને તો આ ભૂલેશ્વરમાં એટલા બધા બુદ્ધિશાળી મહેતાજી હોય છે. શેઠને સમજણ પડતી નથી એ બધું એને સમજણ પડે છે. પણ ચંપલ બિચારાનાં અરધાં હોય, પાછળ અરધાં ઘસાઈ ગયેલાં હોય અને શેઠ તો સાડી ત્રણસો રૂપિયાના બૂટ પહેરીને ફરતા હોય, છતાં ડફોળ હોય ! પૈસા કમાવવા માટે પુણ્યની જરૂર છે. બુદ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુદ્ધિથી પૈસા કમાવા જાવ તો પાપ બંધાય. મારે બુદ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુદ્ધિ એક સેન્ટ પરસેન્ટ નહીં ! બહુ થાય તોય મુશ્કેલીપ્રશ્નકર્તા : લોકોની પુણ્ય હશે તો એમને આ સંપત્તિ ભેગી થઈ. (પા.૭૬)આ પુણ્ય ઓર એવી વધી કે એ લોકોને હવે આ બાજુ બધો ઉપયોગ એનો થવા માંડ્યો. દાદાશ્રી : એ બધી પુણ્ય ને જબરજસ્ત પુણ્ય ને ! પણ સાચવવું મુશ્કેલ પડી જાય. પ્રશ્નકર્તા : એટલે એ બરોબર છે. ઉપાધિ તો ખરી જ ને ? શરૂઆત પછી ત્યાંથી જ થાય છે. દાદાશ્રી : ના હોય તેના જેવું તો એકુંય નહીં. પ્રશ્નકર્તા : પૈસા ના હોય. સંપત્તિ ના હોય. તો એના જેવું એકુંય નહીં ? દાદાશ્રી : હા, એના જેવું એકુંય નહીં. સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો આ બાજુ ધર્મમાં વળી જ ગઈ હોય, તો વાંધો નથી. નહીં તો ઉપાધિ થઈ પડે. કોને આપવી ? હવે ક્યાં મૂકવી ? એ બધી ઉપાધિ થઈ પડે ! પ્રશ્નકર્તા : હા, એ ઉપાધિ ! જેની પાસે બહુ ભેગું થઈ ગયું છે, તેને હંમેશાં ઉપાધિ. દાદાશ્રી : બહુ મુશ્કેલી ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી પેલો લાખો આપે અને આ હજાર આપે, બેય સરખા, પણ હજારેય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લુખ્ખું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણી પછી જવાબદારી નથી. નહીં તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયો-ભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી. મુશ્કેલી, ઉપાધિ બધી. એ તો તારે સારું કે તારા પૈસા કોઈ જગ્યાએ દેખાતા ન હતા. નહીં તો પૈસા દબાઈ જ જાય. તારે બધા બહુ દબાઈ ગયેલા. હું તો મુક્ત થયો. નિરાંત થઈ ગઈ. આપણે તો સાંભળવાનું જ મટી ગયું ને ! મારા જેવાને (પા.૭૭)કોઈ આપેય નહીં ને ! દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું !!! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઊલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તેય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે. કેફ, લક્ષ્મીનોપ્રશ્નકર્તા : વધારે પૈસા હોય તો મોહ થઈ જાય એમ ? વધારે પૈસા હોય એ દારૂ જેવું જ છે ને ? દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો. પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને તિરસ્કાર કરે, આ ગરીબ છે, આ આમ છે. આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! માણસને ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં. તમે કહો છો એવું જ. બધો કેફ ચડી જાય. જો તમને ચઢ્યો નથી ને ! પ્રશ્નકર્તા : ચઢેલો હતો, હવે ઊતરી ગયો. દાદાશ્રી : સારું કર્યું. ડહાપણ કર્યું એટલું. વિચારશીલ છે ને! એ જાય ત્યારે, શું પુરુષાર્થ ?આખી જિંદગી આખા જગતના લોકો આમ નાણાં પાછળ પડ્યા છે ! એ કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ? એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરેય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. ડૉલર આવવા માંડે તે વખતે કૂદાકૂદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નર્યાં પાપો જ બાંધી દે. તે ઘડીએ પાપ ના બંધાય ને ટાઈમ કાઢી નાખવો (પા.૭૮)એમ જાણવું એનું નામ ધર્મ. એટલે હમેશાં સનરાઈઝ થવાનો, સનસેટ થવાનો, એવો દુનિયાનો નિયમ. તે આ કર્મના ઉદય તે પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ-બાડીઓ, મકાનો વધ્યા કરે. બધું. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વીખરાયા કરે. પહેલું ભેગું થયા કરે પછી વીખરાયા કરે, વીખરાતી વખતે શાંતિ રાખવી એ મોટામાં મોટો પુરુષાર્થ ! સગો ભાઈ પચાસ હજાર ડૉલર આપે નહીં ને ગાળો દે ઉપરથી. ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે. અને કોઈ નોકર ઑફિસમાંથી દસ હજારનો માલ ચોરી ગયો, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખે ને અવતાર બધો બગાડી નાખે ! ઘણા ખરા વકીલો મને ભેગા થાય ને, તે જ્યારે કોર્ટના માટે કામમાં લાયક ના રહે ને, પછી એમની સ્થિતિનું શું થાય છે, તે વર્ણન કરે તો આપણને અજાયબી લાગે ! હવે એટલું, પોતે કેમ જીવન જીવવું, તેનું તો આપણી પાસે હોવું જોઈએ ને ? આ ધંધો એ તો બાય પ્રોડક્ટ છે. ધંધો એ કંઈ મુખ્ય વસ્તુ નથી. આ તો જાત ઉપરની શ્રદ્ધા ખોઈ નાખી છે. જાતજાતની શ્રદ્ધા સમજ્યા તમે ? તમને તમારી જાત ઉપર શ્રદ્ધા છે ને ? આ તો જાત ઉપરની શ્રદ્ધા લોકોને ઊડી જાય છે. ખરીદી લો, અહંકારપ્રશ્નકર્તા : એ તો આપણે આપ્તવાણીમાં કહેવામાં આવ્યું જ છે ને કે તેં જો હજાર-બે હજાર રૂપિયા કોઈને આપ્યા તે શા માટે આપે છે કે તું તારા અહંકાર, માનને લીધે આપે છે. દાદાશ્રી : એણે માન વેચ્યું. અહંકાર વેચ્યો તો આપણે લઈ લેવો જોઈએ, ખરીદી લેવો જોઈએ. હું તો આખી જિંદગી ખરીદતો આવેલો. (પા.૭૯)અહંકાર ખરીદવો. પ્રશ્નકર્તા : એટલે શું, દાદા ? દાદાશ્રી : તમારી પાસે પાંચ હજાર લેવા આવ્યો તેને આંખમાં શરમ ના આવે બળી ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે માગે છે તે શરમને કાઢીને આપણને અહંકાર વેચે છે. તો આપણે ખરીદી લેવો, આપણી પાસે મૂડી હોય તો ! પૈસા લેવા જવાનું સારું લાગે ? સગા કાકા જોડે લેવા જવાનું ગમે ? કેમ ના ગમે ? અરે, સબંધિત પાસે લેવાનુંયે કોઈને ના ગમે. બાપ પાસે લેવાનુંય ના ગમે. હાથ ધરવાનો ના ગમે. એટલે આટલો પોતાનો અહંકાર વેચવા તૈયાર થયો તોય તમને ખબર ના પડે, તોય તમે વેચાતો લો, નહીં તો તમે શાનો વ્યપાર કરશો ? પોતાનો અહંકાર વેચવા આવ્યા છે, તો તમારે ખરીદી લેવો કે ના ખરીદવો જોઈએ ? ના ખરીદવો જોઈએ ? એ અહંકાર વેચીને શું કહે છે ? મને ખાવાનું આપો. એ અહંકાર ખરીદી ના લો તો માલ શું રહેશે ? દરેકના અહંકાર ખરીદી લો. કોઈના ખરીદ્યા ? નહીં ખરીદ્યા ? કેવા છે ? ચોપડો દેખાડો. એ એનો અહંકાર વેચવા આવ્યો છે ! પૈસા લેવા આવ્યો એટલે શું વેચવા આવ્યો છે ? એ કંઈ શાકભાજી વેચવા આવ્યો છે ? એ પૈસા પાંચસો ડૉલર વેચવા આવ્યો છે ? જો બેન્કમાં પડ્યા હોય તો આપીને લઈ લો, ખરીદી લો. અને ખરીદવાની ચીજ લોક ખરીદતા નથી. મેં તો એ ખરીદ ખરીદ કર્યું, તેનો આ ભેગો થયો છે માલ ! પ્રશ્નકર્તા : એનો અહંકાર ખરીદી લીધો, પણ આપણને એનો અહંકાર શું કામમાં આવે ? દાદાશ્રી : ઓહોહો ! એનો અહંકાર ખરીદી લીધો એટલે જે એનામાં શક્તિઓ છે તે આપણામાં પ્રગટ થઈ ગઈ ! એ અહંકાર વેચવા આવ્યો બિચારો ! (પા.૮૦)માગતાવાળા સાથે...પ્રશ્નકર્તા : હાથ-પગ સાજા હોવા છતાં ભીખ માગે તો એને દાન આપવાનો ઈન્કાર કરવો એ ગુનો છે ? દાદાશ્રી : દાન ન આપે તેનો વાંધો નથી. પણ એને તમે કહો કે આ મજબૂત પાડા જેવા થઈને શું આવું કરે છે ? એવું આપણાથી ના જ કહેવાય. તમે કહો કે ભઈ, મારે અપાય એવું નથી. સામાને દુઃખ થાય એવું ન જ બોલવું જોઈએ. વાણી એવી સારી રાખવી કે સામાને સુખ થાય. વાણી તો મોટામાં મોટું ધન છે તમારી પાસે. પેલું ધન તો ટકે કે નાયે ટકે, પણ વાણી-ધન તો કાયમને માટે ટકે. તમે સારા શબ્દ બોલો તો સામાને આનંદ થાય. એને તમે પૈસા ના આપો તો વાંધો નહીં, પણ સારા શબ્દ બોલોને ! કોઈ આપણી પાસે પૈસા લેવા આવ્યા ને આપણી પાસે બેન્કમાં નથી તો આપણે કહીએ કે ભાઈ, મારી પાસે બિલકુલ છે નહીં. હોત તો હું તમને આપત અને આપણા મનમાં એમેય જાહેર કરવું કે જો હોત તો ખાસ આપત અને એવી ભાવનાપૂર્વક આટલા શબ્દ બોલીએ અને પછી આપણે કહીએ કે ‘જ્યાં ને ત્યાં માગતા ફરો છો ? કઈ જાતના માણસો છો ?’ એવું ના બોલાય. માંગવાનું દરેકને કોઈ વખત આવે. વખત ના આવે ? માટે વિનયપૂર્વક, એને દુઃખ ના થાય એ રીતે કહેવું જોઈએ. આપણા લોક તો આવડું મોટું પીરસે. ના આપવા હોય તો ના આપીશ, એનો સવાલ નથી પણ એને સારી રીતે કહે. આવા સંજોગોમાં તે કેમ આવ્યો ? એટલે સારા શબ્દોથી બોલવું જોઈએ. એની સ્થિતિ ખરાબ હોય, કોઈની સારી હોય, કંઈ કાયમને માટે દરેકની સ્થિતિ સરખી હોય છે ? રામચંદ્રજીની સ્થિતિ બગડી નહીં હોય ? આવા મોટા માણસની વાઈફનું હરણ થયું તે એમને દુઃખ આવ્યું, તે આ બધાંને દુઃખ ના આવે ? દુઃખ તો મનુષ્યમાં જન્મ્યો હોય એ બધાંને દુઃખ હોય. દેહધારી માત્રને હોય, પણ મહીં પ્રગટ દીવો થયા પછી દુઃખ ના હોય. મહીં દીવો પ્રગટ થયા પછી ‘હું કોણ છું’ એ ભાન થાય, પછી દુઃખ ના હોય. ‘હું કોણ છું’ એનું (પા.૮૧)ભાન થવું જોઈએ. એ તો છે આત્માનું વિટામિનઅહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો બંગલો તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદ્ગલ છે, એ પુદ્ગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય અને પુદ્ગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુઃખ છે એ આત્મવિટામિન છે અને સુખ છે એ દેહનું વિટામિન છે. જે સુખ છે એ શેનું વિટામિન છે ? પ્રશ્નકર્તા : દેહનું. દાદાશ્રી : અને દુઃખ છે એ ? પ્રશ્નકર્તા : આત્માનું. દાદાશ્રી : તોય તું આત્માના વિટામિન દુઃખને ખાતી નથી અને દુઃખને છે તે તું કાઢવા માટે... આત્માનું વિટામિન નથી લેતી, નહીં ? આ હું તો કેટલું બધું આત્માનું વિટામિન લઈને કેવો થઈ ગયો છું ! હમણે જ પચાસ હજાર ઘાલી ગયો હોય ને, તો વિટામિન ફાકું નિરાંતે ! બહુ સારું થયું ! અને કકળાટ કરે તો પચાસ હજાર પાછા આવે, નહીં ? પ્રશ્નકર્તા : ના આવે. દાદાશ્રી : કકળાટ કરે તો ગયેલા પાછા ના આવે. પ્રશ્નકર્તા : એ તો સમજાઈ ગયું. પાછા ના આવ્યા ! દાદાશ્રી : કારણ બધું જાણું કે શા આધારે થયું છે ? પ્રશ્નકર્તા : પચાસ હજાર ગયા ત્યારે કકળાટ કરેલો પણ આવ્યા નહીં પાછા. એટલે સમજ પડી ગઈ કે નથી આવતા. દાદાશ્રી : સમજ પડી ગઈ ને ! હા ! પચાસ હજાર પાછા ના આવ્યા ! તે હજુ સાંધા તો હશે ને ! સાંધો રહ્યો નથી. (પા.૮૨)પ્રશ્નકર્તા : સાંધો રહ્યો છે. પણ જોઈને શું થાય છે ? દાદાશ્રી : સાંધો રહ્યો છે ત્યાં સુધી કંઈ પાકી યે જાય થોડું ઘણું. આપણે ડેડ મની નહીં કહેવું. પ્રશ્નકર્તા : નથી કહેતી. દાદાશ્રી : ડેડ મની તો ના કહેવું, ‘દાદા, એંસી હજાર મૂક્યા છે, શું થશે હવે ?’ ત્યારે મેં કહ્યું, ‘હવે જે થઈ ગયું તે થઈ ગયું ! હવે ડેડ મની ના થાય એટલું જોવું !’ આ તો તમારે હજુ સાઠ હજાર ડેડ મની થયા નથી. પણ સ્ટીમરમાં આપણે જતા હોઈએ અને સાઠ હજારની નોટો તારી પાસે પેકેટમાં ભરેલી હોય અને બહાર ડોક ઉપર ફરવા આવ્યા અને મહીં દરિયામાં પડ્યા. પછી એ ડેડ મની કહેવાય. આ ડેડ મની ના કહેવાય. આ તો આવે પાછું. રૂપિયે બે આની-ચાર આની આવે. કાયદો, મૂડીરોકાણનોપ્રશ્નકર્તા : પૈસો ચાર જગ્યાએ રોકવો એવું આપે કહ્યું છે તો એ કઈ કઈ ચાર જગ્યાઓ ? દાદાશ્રી : એક તો આપણે બેન્કમાં વ્યવહાર કરવા, ચલાવવા માટે જોઈએ ને ? રોકડા ! પછી છે તે આ મકાનમાં, સ્થાવર મિલકતમાં ! પછી સ્થાવર-જંગમમાં, એટલે સોનું અને પછી વેપારમાં. પ્રશ્નકર્તા : આ જરા વિગતવાર સમજાવો ને ? દાદાશ્રી : રૂપિયાનો સ્વભાવ હંમેશાં કેવો છે ? ચંચળ. એટલે તમારે દુરુપયોગ ના થાય એ પ્રમાણે સદુપયોગ કરવો. એને સ્થિર નહીં રાખવા. કારણ કે નિયમ એવો છે કે આ સંપત્તિ કેટલા પ્રકારની કહેવાય ? ત્યારે કહે કે એક જંગમ ! જંગમ સંપત્તિ એટલે આ ડૉલર ને એ બધું. અને સ્થાવર તે મકાન ને એ બધું. પણ તેમાંય વધારે પડતું આ સ્થાવર નભે. આ સ્થાવર-જંગમ નભે અને રોકડું ડૉલર ને એ હોય એ તો ચાલ્યા જ જાણો ને ! એટલે રોકડાનો સ્વભાવ કેટલો ? દસ વર્ષથી અગિયારમે (પા.૮૩)વરસે ટકે નહીં. પછી સોનાનો સ્વભાવ તે ચાળીસ-પચાસ વર્ષ ટકે અને સ્થાવર મિલકતનો સ્વભાવ સો વરસ ટકે. એટલે મુદત બધી જુદી જુદી જાતની હોય. પણ છેવટે તો બધુંય જવાનું જ. એટલે આ બધું સમજીને કરવું આપણે. આ વણિકો પહેલાં શું કરતા હતા? રોકડ રકમ પચીસ ટકા વ્યાપારમાં નાખ, પચીસ ટકા હાથ ઉપર રાખે, પચીસ ટકા સોનામાં અને પચીસ ટકા મકાનમાં. આવી રીતે મૂડીની વ્યવસ્થા કરતા હતા. બહુ પાકા લોકો ! અત્યારે તો છોકરાને શીખવાડ્યુંયે નથી હોતું આવું ! કારણ કે વચ્ચે મૂડીઓ જ રહી નથી તો શું શીખવાડે ? આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હંમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય ! પ્રશ્નકર્તા : એટલે જતા રહે, દાદા ? દાદાશ્રી : એ સ્વભાવ જ છે. ચંચળ સ્વભાવ. ત્યારે લોક શું કહે છે ? ના, અમે કાઢી નાખતા નથી ! ત્યારે કહે, પંચાશી સાલ થઈ, તે અગિયાર વર્ષ પહેલાં કઈ સાલ હતી ? પ્રશ્નકર્તા : ચુંમોતેર. દાદાશ્રી : તે ચુમોતેર પહેલાંનું નાણું આપણી પાસે કશું ના હોય ! આ ચુમોતેર પછી જે નાણું કમાયા એટલું દસ વર્ષ જો આપણે ના કમાઈએ તો ખલાસ ! દસ વર્ષે લક્ષ્મી જતી રહે તે આ લોક કહેશે, ‘મારા તો અઢાર વર્ષથી પૈસા બેન્કમાં જ છે. એ ટક્યા છે જ ને ?’ ત્યારે અમે કહીએ, ‘ના, અત્યારે તમારી પાસે લક્ષ્મી કઈ હોય? ૧૯૭૫ સુધીની જ હોય. એ તમે હિસાબ કાઢશો તો જડશે. ’75 પહેલાંની તો ગમે ત્યાં વપરાઈ જ ગયેલી હોય. આ ’75 પછીની દસ વર્ષથી જે હોય તે. હિસાબ કાઢે તો ખબર પડે કે ના પડે ? હવે જ્યારે ’86 થશે ત્યારે ’76 પછીની લક્ષ્મી. એક દસકો જ જો માણસને ખરાબ આવ્યો તો ખલાસ થઈ જાય ! ઊડી જાય ! હવે વધુ કલ્પવાની જરૂર નહીં. બધું ‘વ્યવસ્થિત’ છે. નિરાંતે આરામથી સૂઈ જવું, આ તો ચિંતાવાળાને આ બધી ભાંજગડો ! એમને (પા.૮૪)આ બધી ભાંજગડો જોઈએ ! નહીં તો આખી રાત ઊંઘવાનું કેમ ફાવે ? એટલે થોડું થોડું જોઈએ. પ્રશ્નકર્તા : પણ દાદા, ધંધામાં તો સ્પેક્યુલેશન રાખવું જ પડે ને ? સ્પેક્યુલેશન ધંધામાં કરો એટલે પૈસા આવતા-જતા, વધતા-ઓછા થયા જ કરવાના. તો તમે કેવી રીતે સમય બાંધો ? દાદાશ્રી : હું શું કહું છું કે ’૭૪માં નાણું આવ્યું હોય તે અત્યારે ખલાસ થઈ ગયેલું હોય. પ્રશ્નકર્તા : એટલે રોકડું ઇન્વેસ્ટ (રોકાણ) કરેલું કે ઘર ને એવું નહીં ? દાદાશ્રી : કાયદો એવો છે કે રોકડા માટે દસ-અગિયાર વરસ છે. પછી સ્થાવર-જંગમ છે. તે આ સોનું કહેવાય. તેને માટે અમુક વરસ છે. હવે સોનું વેચવું હોય તો એના તરત પૈસા આવે એવું છે. માટે એને સ્થાવર-જંગમ કહેવાય. એ ડૉલર જેવું છે ? ત્યારે કહે, ના. એ પછી બૈરી કચકચ કરે કે સોનુંય પહેરવા નથી દેતા. એટલે એમ કરીને મોડું-વહેલું થાય અને મકાન ? લોક શું કહેશે ? ફ્રેન્ડ શું કહેશે ? એટલે એય મોડું થાય અને ડૉલર ? તરત મૂકી આવે ! સાઠ હજાર મૂકી આવે ને ! ડૉલર હાથમાં હતા ને તે મૂકી આવે ને ! એવું આ એનો બહુ હિસાબ કરું છું. આવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : જે પ્રમાણે આવે એ પ્રમાણે લેવું, ઈશ્વરની ઇચ્છાએ. દાદાશ્રી : હા, એ તો ઉત્તમ. ઈશ્વરની ઇચ્છા શું ? આ તો આપણું પ્રારબ્ધ જ. આપણું જ આ રિએક્શન આવે છે. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. આપણું જ પ્રારબ્ધ છે આ, બસ ! એટલે એ પ્રમાણે રહેવું. સોનામાં રોકાણપ્રશ્નકર્તા : સોનામાં રાખવું જોઈએ ? દાદાશ્રી : સોનામાં રાખવું જોઈએને ! આ પહેલાંના જમાનાના હિસાબ છે. અત્યારે આપણને વ્યાજમાં નુકસાન થતું હોય તો સોનું ના (પા.૮૫)લેવું. પણ જોડે જોડે જતું રહેશે એવી ખાતરી રાખવી. સોનું જરા વાર લાગે. અત્યારે તો તરત એનું એ જ કહેવાય ને ! પહેલાં તો શું થાય ? લોકોમાં ખોટું દેખાય કે મારે સોનું વેચવાનો વખત આવ્યો ! આ કાયદા બાંધેલા ને તે ટાઈમ જ જુદો હતો ! સોનું વેચવાનો વખત આવ્યો, તો લોક શું કહે ? આપણે સોનું ના વેચશો, હં. તે સોનું રહેવા દો ને! તે ચલાય ચલાય કરે. પછી જરૂર પડે તો જમીન, ખેતર અરે, ઘર વેચવાનો વખત આવે ! અને રોકડા હોય તો તરત શેરબજારમાં જઈને શેરનું કરી આવે. અને પછી નથી એવું માને. એટલે શેરબજારમાં એને જતો અટકાવે. તમને સમજ પડીને ? પ્રશ્નકર્તા : શેરબજારમાં સટ્ટાબાજી કરવી કે સોનું લેવું સારું ? દાદાશ્રી : શેરબજારમાં તો જવું જ ના જોઈએ. શેરબજારમાં તો ખેલાડીનું કામ છે. આ વચ્ચે ચકલાં બફાઈ મરે છે ! ખેલાડી લોકો ફાવી જાય છે આમાં. બધા પાંચ-સાત ખેલાડીઓ ભેગા થઈને ભાવ નક્કી કરી નાખે. એમાં આ ચકલાં મરી જાય વચ્ચે ! એમાં કો’ક તો ફાવે જ છે ને ! પેલા ખેલાડીઓ ફાવે છે આમાં અને નાના જે ચરાવી ખાતા હોય ને તે ખર્ચા કાઢે છે ! કારણ કે રાત-દા’ડો એના પર જ કરવાનું હોય. આ વચલાવાળા જે આમ અહીંથી કમાઈને આમ નાખે, તે માર્યા જાય. એટલે અમારા સગા હતા તેમણે મને પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું કે આ કરશો નહીં. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ૧૧ વરસે નાણું ખલાસ થઈ જાય તો કે દસ વરસ થાય ને પછી આપણે એ પૈસાનું સોનું ખરીદી લઈએ તો એ ટકે ને ? દાદાશ્રી : નવ વરસે સોનું લઈ લે તો પાછું ટકે. પણ એ બુદ્ધિ ત્યારે ના રહે. એ કહે, સોનાનું પણ વ્યાજ ના આવે ને ! માટે મૂકી આવો ને આપણે સાઠ હજાર. એ બુદ્ધિ એવું કહે કે જો મૂકી આવીશું તો બાર મહિને છ હજાર ડૉલર આવશે. એટલે આ પૈસાને ધીમે ધીમે સારા ઉપયોગમાં વાપરવા. કાં તો મકાન બાંધી દેવું ઘેર. મકાન ઘેર હોય તો બીજું મુંબઈમાં બાંધવું. કંઈ (પા.૮૬)થોડા-ઘણા સોનામાં રાખવા પણ બધું બેન્કમાં ના રાખવું. નહીં તો કો’ક દહાડો મળી આવશે ને ગુરુ કે શેરબજારમાં ભાવ સારા છે હમણે. એ લાલચમાં નાખ્યો કે પડ્યો એ ! પેલાના સાઠ હજાર ગયા ને ! પરદેશની પોલિસીપ્રશ્નકર્તા : આપે આ જે વ્યવહાર બતાવ્યો એ હિન્દુસ્તાનને માટે એ ટાઈમને અનુસરીને હતો. હવે અહીંયા (અમેરિકમાં) શું થયું ? આ દસ વર્ષ પહેલાં જ સોનાની છૂટ થઈ કે અમેરિકન માણસ માર્કેટમાં જઈને સોનું ખરીદી શકે. એ પહેલાં અમેરિકન માણસ સોનું ખરીદી જ ના શકે. દાદાશ્રી : એમ ? દાદાશ્રી : આ જે જણસો કરાવે એમાં તો સોનું કાઢી લે, આપણી પાસે કશું રહે જ નહીં. અત્યારે કોઈ કહે કે મારે સોનું સંઘરવું છે તો હું કહું કે લગડીઓ સંઘર, પણ લગડીઓ વેચી ખાયને પાછો. એટલે એમને અત્યારે શું સમજણ પાડવી તે જ સમજણ ના પડે. માટે ‘વ્યવસ્થિત’માં જે બને છે તે જુઓ ! શું થાય ? પ્રશ્નકર્તા : અહીં તો ફોરેનર્સને એક અઠવાડિયું પગાર મોડો મળે તો ભૂખે મરી જાય. દાદાશ્રી : હા, એ તો એવું. આ બિચારા તો પૈસા આવે તો વાપરવા માંડે, એને વાપરવાનું જ હં. ડલનેસ હોય. આ આટલા ઓછા થાય કે એવું તેવું કશું નહીં. જેવા સંજોગો આવે તો વાપર વાપર કરે. પછી ડૉલર મહીં ખોળે. બેન્કમાં ખલાસ થઈ જાય એટલે ખોળ ખોળ કરે. એ તો સારું છે કે હવે બધાં સાધન છે. વિઝા-બિઝા અને ક્રેડિટ-કાર્ડ બધું છે. પ્રશ્નકર્તા : એના પર જ ચાલે છે આખો દેશ ! જો આ કાર્ડ બંધ કરી દે તો બધું બંધ ! લક્ષ્મીની લિમિટ સ્વદેશ માટેદાદાશ્રી : અને આ મકાન ઉપર પૈસા ધીરે છે ને તેથી આ મકાન (પા.૮૭)મળે. નહીં તો મકાન જ કોઈને ના હોય. આ સિસ્ટમ બહુ અક્કલવાળી ખોળી કાઢી છે. નહીં તો કોઈ અમેરિકન મકાનવાળો હોય નહીં. પ્રશ્નકર્તા : આ એક જ દેશ (અમેરિકા) એવો છે દુનિયામાં કે જેમાં એંસી ટકા પ્રજા પોતાનું ઘર ઓન કરે છે (ધરાવે છે). દાદા, આપણા અમેરિકન મહાત્માઓ પૂછે છે કે અમે જે કંઈ થોડું ઘણું કમાયા છીએ એ લઈને ઈન્ડિયા જતા રહીએ ? દાદાશ્રી : ના, ના, એવી કંઈ જરૂર નથી. એવી ભડકવાની જરૂર નથી અને બીક લાગે તે દહાડે મને કાગળ લખજો તો હું તમને લખી દઈશ કે આવતા રહો. બીકમાં ઊંઘ ના આવતી હોય તો હું કહીશ કે આવતા રહો. અત્યારે તો ઊંઘ આવે છે ને નિરાંતે ? પ્રશ્નકર્તા : આવે છે, દાદા. દાદાશ્રી : હા, એટલે ભડક રાખશો જ નહીં. અમે તમને આશીર્વાદ આપીશું. ભડક રાખવાનો શું અર્થ છે ? પ્રશ્નકર્તા : છોકરાઓનો ખાસ વિચાર આવે કે અમેરિકામાં જોઈએ એવા સંસ્કાર નથી મળતા. દાદાશ્રી : હા, એ તો બધું ખરું છે. અહીંથી જો પૈસા કમાઈ ગયા હોય તો આપણે ઘેર જતાં રહેવું. છોકરાંને સારી રીતે ભણાવવાં. પ્રશ્નકર્તા : તમે કહ્યું કે પૈસા કમાયા એટલે ચાલ્યા જવું, પણ પૈસાની લિમિટ નથી હોતી. તમે એટલે લિમિટ કંઈ બતાવો. તમે એવી કંઈક લિમિટ બતાડો કે એટલી લિમિટના પૈસા લઈને અમે ઈન્ડિયા જતા રહીએ. દાદાશ્રી : હા. આપણે હિન્દુસ્તાનમાં કંઈ રોજગાર કરવો હોય અને એને માટે કંઈ રકમ લાવવી પડે, તો વ્યાજે ના લાવવી પડે એવું કરવું. થોડું ઘણું બેંકમાંથી લેવું પડે તો ઠીક છે. બાકી કોઈ ધીરે નહીં. ત્યાં તો કોઈ ધીરે કરે નહીં. અહીંયા ય કોઈ ધીરે નહીં, બેંક જ ધીરે. એટલે એટલું સાથે રાખવું. બિઝનેસ તો કરવો જ પડે ને ? ત્યાં આગળ ખર્ચો કાઢવો પડેને ? પણ ત્યાં (ભારતમાં) છોકરાં બહુ સારાં થાય. અહીં ડૉલર મળે પણ છોકરાંના સંસ્કારની ભાંજગડ છે ને ! (પા.૮૮)સુખ શેમાં ?એટલે આ સુખ તો બધું માનેલું સુખ. પૈસા હોય એ સુખ ગણાતું હોય તો પૈસાવાળા તો ઘણા છે બિચારા. એટલે પૈસા ! એ પણ આપઘાત કરે છે પાછા. જો ધણી સારો હોય તો સુખ હોય. પણ ધણીએ ઘણા સારા છે તોય બઈઓને પાર વગરનું દુઃખ હોય છે. છોકરાં સારા હોય તો સુખ. પણ તેય કશું નથી હોતું. સુખ શેમાં છે ? આ સ્ટોર્સમાં છે ? આ જનરલ સ્ટોર્સ હોય છે ને. તેની મહીં બધી વસ્તુઓ આપણે જોઈએ. એ બધી સુખવાળી છે નહીં ? બસ્સો એક ડૉલર લઈને પેઠા હોય તો આનંદ આનંદ આવી જાય. આ લીધું ને તે લીધું ને પછી લાવતી વખતે કકળાટ પાછો. ધણીને કહેશે, ‘હું શેમાં ઊંચકી લઉં હવે ?’ ત્યારે ધણી કહેશે, ‘ત્યારે લીધું શું કરવા ત્યાં ?’ ત્યાંય પાછો કકળાટ. ‘નકામી ઘાલ ઘાલ કરું છું ને હવે પછી બૂમો પાડે છે.’ ધણી એવું કહે. એમાં સુખ હોતું હશે ? સ્ટોરવાળાને સુખ ના હોય. એ શું કરવા આખો દહાડો ત્યાં બેસી રહે છે ? તો પૂછવું હોય તો પૂછ હવે. તારા ખુલાસા કરીશ. તારે જેવું સુખ જોઈતું હોય એવું સુખ આપીશ. સ્ટોર પણ નમસ્કાર કરે ‘આ વીતરાગ’નેઅમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. ‘હેંડો દાદા’ કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે! સહેજ પણ દ્રષ્ટિ બગાડી નથી અમારા પર ! આખા સ્ટોરમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિ બગાડી નથી! એના પર અમારી દ્રષ્ટિ બગડે જ નહીં. અમે જોઈએ ખરા, પણ દ્રષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ? મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્રષ્ટિ બગડી જાય ને ! પ્રશ્નકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે. દાદાશ્રી : હા, અમારી દ્રષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવાં પુરુષને જોયા નથી ! પાછા તિરસ્કારેય નહીં, ફર્સ્ટ ક્લાસ! રાગેય નહીં, દ્વેષેય નહીં, વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન ! (પા.૮૯)આ તો જો હાથમાં ડૉલર હોય તો સ્ટોર ખાલી કરી નાખે એવા લોક, હાથમાં હોવા જોઈએ અને મને આ સ્ટોરમાં તેડી જાય છે. ‘દાદા, શું લેવું છે ?’ મેં કહ્યું, ‘મને કોઈ વસ્તુ ખોટી લાગતી નથી. પણ આ આમાં મને એમેય નથી લાગતી કે આ લેવા જેવી છે. એ લેવાથી વજન ન વધવું જોઈએ. હાથમાં ઝાલવું ના પડે. નહીં તો આ તો પાછા હાથમાં ઝાલ્યું આમ ! મોટો બેટરો આવડો લીધો તે હાથમાં ઝાલ્યો હોય !’ એક જણ તો સ્ટોરમાં લઈ ગયા, તે મને કહે છે, અમારો રોજ છસો-સાતસો ડૉલરનો વકરો થતો’તો. અમારો સ્ટોર ૫૦% પ્રોફિટવાળો છે. તે આજ તમે આવ્યા તે હજાર ડૉલરનો વકરો થયો. તે મોટી બેટરીઓનું મોટું આવડું ખોખું ભરીને આપ્યું, ‘લઈ જાવ આ ખોખું.’ મેં કહ્યું ‘અલ્યા ભઈ, અમે કોને આપીશું આ બેટરી ?’ ત્યારે કહે, ‘કોઈને આપી દેજો.’ પછી મેં એને કહ્યું, ‘છસો ડૉલરમાં તો શી રીતે ધંધો ચાલે, અલ્યા ? કેવા માણસ છો ?’ ત્યારે કહે, ‘અમારે ફિફ્ટી પરસન્ટ (પચાસ ટકા) નફો અને કોઈ કોઈ આઈટમમાં સેવન્ટી અને કોઈ આઈટમમાં બસ્સો ટકા નફો.’ મેં કહ્યું, ‘અહોહો, ત્યારે તમે ખરા અમેરિકાના ઉપકાર કરનારા. ઉપકારી લોકો !’ પ્રશ્નકર્તા : એમને કાર્ડ, ગિફ્ટવાળું બધું વેચવાની દુકાન છે. દાદાશ્રી : દુકાન ના કરે તો કો’કની જોબ (નોકરી) કરવી પડે. હવે જોબ નથી કરવી પડતી ને ? પ્રશ્નકર્તા : દુકાન એ જ જોબ થઈ ગયો ને ? દાદાશ્રી : એટલે એ તો કંઈ કરવું પડે ને ! જોબ કરવા જાવ ત્યારે પેલો ટૈડકાવ ટૈડકાવ કરે પાછો. અહીં આપને ઓછા (છૂટા) કરવાના છે ! અલ્યા મૂઆ, જંપીને બેસવા દેને ! એના કરતાં તો સારું છે. આવું કંઈ દુકાન કરી ખાધીને ! ઓછું તો ઓછું, બળ્યું ! (પા.૯૦)ત્યાં છે નર્યો લોભએમાં અમુક કોમ જે હોય છે, જે ડેવલપ કોમો, એ લોભી બહુ હોય છે. આખો દહાડો લોભમાં ને લોભમાં, પાંચ-પચીસ લાખ મહીં બેંકમાં પડ્યા હોય ને, તે આખો દહાડો લોભમાં ને લોભમાં હોય. અહીં એક ઈટાલિયન બાઈ આવે તે દર્શન-બર્શન બધું કરે પણ આખો દહાડો લોભમાં જ હોય. દાદાને કંઈ આપવું પડશે, એનાં કરતાં છેટાં સારાં. જોકે આપણે કંઈ માંગીએ નહીં. પણ એના મનમાં ભડકાટ રહે. પ્રશ્નકર્તા : પણ જિંદગીમાં બીજું જોયું ના હોય તો શું થાય, દાદા ? દાદાશ્રી : બીજી જે અમુક કોમ છે, એ તો માલ બધો તરત વાપરી નાખે અને આ તો આખો દહાડો પૈસામાં જ રમત. બહુ લોભિયા હોય એ તો. આ તો કીડીઓ એકલી લોભી છે બધી ? બધાય લોભી, ઘણો ખરો હોય માલ. આ તો હું ઘેર બેઠો બેઠો જોયા કરું. એય કાગડાભાઈ પેણેથી રોટલી લાવીને અમારી બારીનું વેન્ટીલેટર હોય છે ને, તે ત્યાં વચલું લાકડું હોય ત્યાં પછી મૂકીને જાય. પછી મોડો ભૂખ્યો થાય ને કોઈ જગ્યાએ ઠેકાણું ના પડે તો એ આવીને ખાય પાછો. અલ્યા, અહીં સુધી તમને પરિગ્રહ કરતાં આવડ્યો ? ત્યાં બીજા લોકો પરિગ્રહ ના કરે, ચકલીઓ ના કરે. એમને તો ખાઈને સૂઈ જવાનું, બીજી ભાંજગડ નહીં. આ તો અક્કલવાળા એટલા બધા. એમાં જાતનું કેટલું નુકસાન ?તારે બધું જાણવું છે આ બધું અને અંદર શાંતિ કાયમની રહે એવું કરવું છે ? મહીં શાંતિ થઈ ગયા પછી આ તારો ખર્ચો બંધ થઈ જશે, ઓછો થઈ જશે, તો શું કરીશ ? આ સ્ટોરવાળાને ત્યાં ઘરાકી ઓછી થશે. આ સ્ટોરવાળાને શેની ઘરાકી છે ? અશાંતિને લીધે. આ લઉં તો સુખ આવે, આ લઉં તો સુખ આવે, તેને લઈને સ્ટોરવાળાને ત્યાં ઘરાકી છે. આપણા મહાત્માઓને લીધે સ્ટોરવાળાને ત્યાં ઘરાકી નથી રહેતી હવે પછી. કારણ કે નિરાંતે ઘેર જાય. સ્ટોરમાં શું કરવા આવે ? પેલાં તો ભટક ભટક કર્યા કરે. આ બેન તો, એના ફાધરે શી રીતે ખર્ચો એનો ચલાવ્યો હશે ? (પા.૯૧)એવી હાથની છૂટી હતી. હવે એ અટકી તે બહુ સારું થયું. એક તો એ પોતાને નુકસાન કરત, ઘરનાને નુકસાન કરત ને ડૉલરનું નુકસાન થાય. અરે ડૉલરનું મૂઉં નુકસાન થાય, પણ એની જાતનું કેટલું બધું નુકસાન થાય ! દૂધે ધોઈને ખોયા શેરમાંસ્ટોરમાં જઉં છું કે ? શું લેવા જઉં છું ? પ્રશ્નકર્તા : ગ્રોસરી (અનાજ). દાદાશ્રી : બીજું કંઈ વધારે પડતું લાવું નહીં ને ? સાડીઓ-બાડીઓ, વધારે ? કાન દેખાડ જોઉં ? હીરા-બીરા નથી કર્યા ? હીરા-બીરા કશુંય નહીં ? પ્રશ્નકર્તા : અમારો ક્લાસ નથી એવો અત્યારે. દાદાશ્રી : ત્યારે લોઅર ક્લાસમાં છો ? પ્રશ્નકર્તા : લોઅર ક્લાસમાં નહીં પણ પૈસાની જે ગાંઠ છે. લોભની ગાંઠ છૂટતી નથી. દાદાશ્રી : ઓહોહો ! એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી પછી શેરબજારમાં એણે સોદા કર્યાને, પછી મને કહે છે, દાદા ! મારા ગઈ સાલ સાઠ હજાર ફસાયા છે. ત્યારે મેં કહ્યું, મૂઆ ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી ને પાછું આ શું કર્યું ? ત્યારે કહે, લોભના હારુ જ ! અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપશો તો દસ-પંદર હજાર વખતે પાછા આવશે. ત્યારે મૂઆ આમ જતા રહે એના કરતાં આપણે સારી રીતે ડહાપણ ના વાપરીએ ? એક મહાત્મા કહે છે કે શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું ? મેં કહ્યું, બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા તે ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર ! કોઈને આપેલા હોય ને, તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તોય (પા.૯૨)પેલો સંભારે કે ના ભાઈ, મેં એમના લીધેલા છે. ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સહેજમાં ! આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યાં ! પડ્યા લાયમાં, વ્યાજની ?પ્રશ્નકર્તા : તમે એવો પ્રશ્ન કર્યો કે પૈસાને શું કર્યા ? પૈસાને કંઈ મૂક્યા ? દાદાશ્રી : એવું છે ને, ગઈ કાલે પૈસા આવેલા હોય ને તે રાત રાખે નહીં. તરત ધીરેલા હોય એક ટકાના ભાવે. એનો ક્યારે પાર આવે ? તમારું ગામ તો એનું એ જ છે ને ? હમેશાં વ્યાજ ખાવાની શરૂઆત માણસ કરે. એટલે મુસલમાનમાંયે ના ગણાય. ખરો મુસલમાન વ્યાજ ના લે. કારણ કે વ્યાજની કિંમત નથી. વ્યાજની લાઈનમાં પડેલો એ માણસ મટીને શું થાય છે એ ભગવાન જ જાણે ! તમે બેન્કમાં મૂકો તેનો વાંધો નહીં, બીજા કોઈને ધીરો તેનો વાંધો નહીં, પણ લાયમાં પડેલો બે ટકાને, દોઢ ટકાને, સવા ટકાને, અઢી ટકાને, એ લાયમાં પડ્યો. એ માણસનું શું થશે એ કહેવાય નહીં, એવું અત્યારે મુંબઈમાં બધાંને થયું છે. આપણે અહીં તો એટલું બધું નાણું હોય ક્યાંથી ? પણ આ લાયમાં પડ્યાને ! વ્યાજની લાયમાં બે ટકા ને અઢી ટકા, પદ્ધતિસરનું વ્યાજ હોય ત્યાં સુધી ચાલે. નહીં તો માણસનું લોહી લુપ્ત થઈ જાય. એમને કોઈ દહાડો મોક્ષે જવાની ટિકિટ નહીં મળે. કારણ કે પૈસા જ બધું છે. વ્યાજ-વટાવનો વેપારબીજું અમુક કોમનું અક્કલવાળો પોઈન્ટ એ છે કે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ (દુષ્ટ) થતો થાય. સ્ત્રી-બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે. પણ અત્યારે આપણી પાસે એવું નથી. માટે બેન્કો લે તે પ્રમાણે લેવું. ખાસ કરીને કોઈને ધીરવા નહીં. એનાથી ના આપી શકાય ત્યારે દુઃખેય થાય એટલું. ભયંકર દુઃખ થાય. કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ. નહીં તો માણસનું મન (પા.૯૩)પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવો અને આપણે વ્યાજ ના લેવું. પ્રશ્નકર્તા : અહીં એવું છે કે આપણે કોઈને ધંધા માટે હજાર, બે હજાર ડૉલર આપ્યા પછી પાછા માગીએ તો એ કહે કે ક્યારે તમે આપેલા ? એમ એ લોકોને એટલું કહ્યું હોય કે હું વ્યાજ લઈશ, બેન્કમાં જેટલું થાય છે તેટલું લેવાનું. દાદાશ્રી : વ્યાજ લેવામાં વાંધો નહીં. પણ આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો ! ધંધો વ્યાજ-વટાવનો. તમારે શું કરવું જોઈએ ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેન્કમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. હવે છતાં એક માણસની પાસે વ્યાજે ય નથી, મૂડી યે નથી તો એની પાસે મૌન રહેવું. એને દુઃખ થાય એવું નહીં વર્તવું. એટલે આપણા પૈસા ગયા છે એમ માનીને ચલાવી લેવું. દરિયામાં પડી જાય તેને શું કરીએ ? પ્રશ્નકર્તા : પછી પાછું આપ્તવાણીમાં કહ્યું છે કે આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે પાછા આપવાનો છે ? વરસે-દોઢ વરસે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે. દાદાશ્રી : ગયા એવું માનીને જ તમે ચાલો. ‘નો પોઝિટિવનેસ’. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું ખોળીએ છીએ કોઈની પાસે ? ના ખોળીએ ને ? હવે આ હીરાની વીંટી પહેરીને ફરતા હોય ને કોઈ ગુંડો આવીને કહેશે કે ‘એય, આપી દો !’ તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે ? ત્યાં ક્લેઈમ છે કોઈ જાતનો ? એટલે આ અહીં આપો તો પેલું નહીં મળે. નહીં તો પેલું મળશે. નાણાંનો સ્વભાવ કેવો જતા રહેવાનો. ટાઈમે જતા રહે. માટે એનો ઉપાય આ જ હોય ? મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે બળ્યો આ વ્યાજનો ધંધો જ નથી કરવો. પ્રશ્નકર્તા : નથી ધંધો. દસ વરસ થયા. નવો કંઈ ધંધો નથી. દાદાશ્રી : એ તો એવું છે, નવો નથી. એ તો ફસાવે એટલે બધાને (પા.૯૪)વૈરાગ્ય આવે. હવે ફસાવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે આ ટાઈમ ફસાવાનો છે. કારણ કે અત્યાર સુધી લે લે કર્યા, સીઝનો સારી આવી. પણ હવે સીઝન ઊડી જાય છે. હવે સત્સંગની વાતો કરો. અનંત અવતાર બહુ ભટક્યા. ધોળા વાળ આવ્યા ને ત્યાંથી સિગ્નલ પડી ગયો. પ્લેટફોર્મ આવ્યું ઊતરવાનું ! અને તોય રૂપિયા છોડ્યા નહીં, એટલે ભગવાને કહેલું શાસ્ત્રમાં કે જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કરજો. હિંસક વેપારપ્રશ્નકર્તા : આ જે જંતુનાશક દવાઓનો ધંધો પહેલાં કરતા’તા, તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે ? કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક ? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને ? દાદાશ્રી : એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત. પણ આ શંકા પડી, એ એમની પુણ્યને લઈને. જબરજસ્ત પુણ્ય કહેવાય. નહીં તો આ જડતા આવત, ત્યાં કંઈ જીવો મર્યા ઘટ્યા નહીં. તમારા જ મહીં જીવો મરી જાય ને જડતા આવે. જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય. પ્રશ્નકર્તા : હજુય જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાવ અને એમને પચાસ દાખલાઓ બતાવ્યા કે જો આટલે ઊંચે ચઢેલો નીચે પડી ગયો. પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં ! પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા. દાદાશ્રી : એટલે કેટલું પાપ હોય ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે. એવું છે ને, આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતાં આ કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવડાં પડે છે ત્યારે શું કરો છો - જુવારમાં ને બાજરીમાં, (પા.૯૫)બધામાં ? ત્યારે કહે, એ તો અમે શું કરીએ ? અમે ચાળી નાખીએ. બધુંયે કરીએ. એની પાછળ માવજત કરીએ. પણ એ રહી જાય તેને અમે શું કરીએ ? મેં કહ્યું, ‘રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાંના પૈસા તમે લો છો ? તોલમાં ? હા, ભલે, બે તોલા ! બળ્યું આ તે કંઈ લાઈફ છે ? એ જીવતો તોલ થાય એકાદ તોલો ! એ તોલના પૈસા લીધા! પ્રશ્નકર્તા : વકીલો જ્યારે દલીલ કરે, ત્યારે એમને અમુક વખત જૂઠું બોલવું પડે, કારણ કે એ ધંધો રહ્યોને, તો એ બંધનકર્તા થાય ? દાદાશ્રી : આ બધા લોકોની ગતિઓ સારી ના થાય. અમે ચોખ્ખું ના બોલીએ, આટલું ટૂંકું બોલીએ. ચોખ્ખું બોલીએ તો શરમ આવે એવું છે. ડૉક્ટરો ને વકીલોને બધાનું ચોખ્ખું બોલીએ તો શરમ આવે. વકીલાત, બુદ્ધિની પણપ્રશ્નકર્તા : મને એવો ઘણા વખતથી પ્રશ્ન થાય. એટલે મારા કુટુંબમાં કોઈ વકીલ થાય તો હું કહું કે, ના થઈશ ? દાદાશ્રી : આમ તો ‘એ’ વકીલ થયેલો જ છે. પાછો બીજો વકીલ શું કરવા થાઉં છું ? સતયુગમાં ‘પોતે’ ‘વકીલ’ નહોતો થતો. હવે આ જ્ઞાન લેતાં પહેલાં શું હતું ? કે તમે પોતે જ જજ ને તમે પોતે જ આરોપી. બે તો પહેલેથી હજુય છે. પણ આ બે હોય ત્યાં સુધી આરોપીનો જવાબ મળતો’તો, પણ હવે તમે પોતે પાછા વકીલ એટલે એક તો વકીલ હતો ને ફરી પાછો વકીલ થયો. તમારામાં વકીલાત કરે કે ના કરે ? પ્રશ્નકર્તા : કરે. દાદાશ્રી : એ વકીલ આપણને શું કહે ? બધા કરે છે ને ! એટલે કલ્યાણ (!) થઈ ગયું ! એક મોટા શેઠ હતા. તે એનો નોકર છે તે કપડું ખેંચતો’તો આમ. કપડું ખેંચી ખેંચીને આપતો હતો. મેં શેઠને કહ્યું, ‘આ છોકરો કસરત કેમ કરે છે ?’ ત્યારે કહે, ‘એ કસરત નથી કરતો. એ તો અમારે ચાલીસ મીટર તાકો હોય છે ને. તે અરધો મીટર વધે છે.’ મેં કહ્યું, ‘આ તમે ભગવાન મહાવીરની પાસે બેસી રહેતા’તા, મને હજી યાદ છે. હવે તમારે ક્યાં જવું (પા.૯૬)છે, એ કહો મને ! આ ભાવ કહેલો હોય તો અઢારને બદલે સાડા અઢાર કહેવો. પણ માપ-તોલમાં ઓછું ના અપાય. માપમાં-તોલમાં ઓછું આપ્યું ને તો અહીંથી ચાર પગવાળા થવાનું છે શેઠ ! બે પગવાળા નહીં, ચાર પગવાળા ! પાશવતા કરી કહેવાય.’ મેં એને સમજણ પાડી ત્યારે કહે છે કે ‘દાદાજી ! બધા આવું કરે છે ને !’ જો મહીં પેલો વકીલ શું શીખવાડે છે ? બધાં આવું કરે છે ને ? મેં કહ્યું, ‘મને વાંધો નથી, કરજો.’ તો કહે, ‘કાલથી બંધ કરી દઉં ?’ મેં કહ્યું, ‘ભાવ વધારે કરજો ને ?’ ત્યારે કહે, ‘ભાવ વધારે કહું તો ઘરાક જતો રહે. બધા અઢારે આપે ને હું સાડા અઢાર કહું તો એ જતો રહે.’ મેં કહ્યું, ‘બધા કૂવામાં પડતા હોય તો તમને કૂવામાં પડવાનું કહ્યું છે ? તમારો હિસાબ કોઈ ઓછો ના કરી આપે. એક રૂપિયો પણ ઓછો ના કરી શકે એટલું બધું આ જગત હિસાબસર છે. તમારે તો કામ કર્યે જવાનું છે. એમ નહીં કે પ્રારબ્ધને આધીન જે થવાનું છે તે થશે ! પ્રારબ્ધ જેવી વસ્તુ જ નથી, એમ માનીને તમારે કાર્ય કર્યે જવાનું અને એને કૃષ્ણ ભગવાને કહ્યું કે તું નિષ્કામ કર્મ કર્યા કર. શું થશે ? આમ થશે કે તેમ થશે ? એને બદલે નિષ્કામ કર્મ કર્યા કર.’ મૂળ વાત શું હતી ? શું કહ્યું’તું મેં ? એ શેઠ શું કહેવા માંડ્યો ? પ્રશ્નકર્તા : એ કાપડ ખેંચીને આપે. બધા આવું જ કરે છે ને ! વકીલ મહીંથી, એણે વકીલાત કરી. દાદાશ્રી : બધા આવી રીતે કરે છે. એટલે મારે ભાવ તો એવો જ રાખવો પડે ને ? મેં કહ્યું, ‘ના, તમે આમ ખેંચશો નહીં અને ભાવ વધારે બોલજો તે ઘરાક આવશે કે નહીં, તે બાબતમાં નિષ્કામ રહેજો. એની વરીઝ મારે માથે નાખજો. મારી ગેરન્ટી.’ ત્યારે શેઠ કહે, ‘આજથી ચાલુ કરી દઈશ.’ પણ શેઠ મરી ગયા પછી છોકરાઓએ પેલું ચાલુ કરી દીધું પાછું. ભગવાન મહાવીરની પાસે બેઠેલા મેં જોયા’તા પણ તોય પાંસરા થયા નહીં અને કશુંય સુખ ભોગવવા નથી પડી રહ્યા. ચટણી સારુ, આખા તાટ માટે નહીં! આખો તાટ ભોગવવો નથી, એક ચટણી સારુ જ પડી રહ્યો. ત્યારે મેલને મૂઆ તાટ નહીં ભોગવવો તો જલદી છોડી દે ને અહીંથી ! (પા.૯૭)પ્રશ્નકર્તા : દારૂ પીવો એ પાપ નથી ? દાદાશ્રી : પાપ તો ખરું પણ તિરસ્કાર કરવા જેવું નથી. પ્રશ્નકર્તા : મેં મારી રીતે પાપની એવી રીતે વ્યાખ્યા કરી છે કે સામા માણસને માનસિક અથવા શારીરિક રીતે આપણે દૂભવીએ એને પાપ કહેવાય. દાદાશ્રી : એ સાચું કહેવાય. સામો દુભાય નહીં છતાં તમે ભેળસેળ કરીને આપો તો પાપ ખરું ! પ્રશ્નકર્તા : આ બધી ઈન્કમટેક્સની ચોરીઓ કરે, સરકારની ચોરીઓ કરે છે એ ચોરી કહેવાય કે નહીં ? દાદાશ્રી : હવે એવું છે ને ! એબવ નોર્મલ કરે તો ચોરી કહેવાય. નોર્મલ કરે તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : હવે એ નોર્માલિટીની ખબર કેવી રીતે પડે ? દાદાશ્રી : સરકારને આટલા તો આપવા જ પડે. સરકારે વધારે વેરાના લીધા છે જાણી જોઈને. પ્રશ્નકર્તા : સરકાર તો નેવું ટકા માગે છે. અહીં હિન્દુસ્તાનની સરકાર લાખ રૂપિયા કમાણી ઉપર નેવું હજાર માગે તો ? દાદાશ્રી : હા, એ તો સરકાર તો જ્યાં ઈન્કમટેક્સ હોય તે લોકોને ડાહ્યા બનાવે છે કે મૂઆ શું કરવા ભોગવો છો ? આ જે ચપટી છે એને ભોગવો ને ! શું કરવા કમા કમા કરો છો ? નહીં તો ચોરીઓ કરવી પડશે. આના કરતાં જે છે એ ભોગવતાં હોય તો શું ખોટું ? ત્યારે લોભિયાને લોભ બંધ કરાવવો એવો કાયદો છે. લોભિયા ત્યારે જ પાછા પડે. તોય પાછા નથી પડતા એય અજાયબી જ છે ને ! પ્રશ્નકર્તા : ચોરી કરે અને લોભ ચાલુ રાખે. દાદાશ્રી : હા, ચોરી કરે પાછું એમાં શું કાઢવાનું ? મન બગડી જાય આપણું. (પા.૯૮)પ્રશ્નકર્તા : દાદા, ગવર્મેન્ટ નેવું ટકા ટેક્સ નાખે છે એ એબવ નોર્મલ ના કહેવાય ? દાદાશ્રી : કહેવાય ને ! સરકારે આવું ના રાખવું જોઈએ. પ્રશ્નકર્તા : જો સરકાર એબવ નોર્મલ ટેક્સ નાખે તો લોકો ચોરીઓ કરે, નોર્માલિટી લાવવા માટે. તો એ શું ખોટું ? દાદાશ્રી : ખોટું, પણ પછી એને પોતાને તે રૂપિયા ક્યાં મૂકવા એ ચોપડામાં લખાવી લે ને ! એટલે પછી અમારે દેરાસરમાં આપી દેવા પડે. તમારે ત્યાં દાન આપે તો ટેક્સમાં પચાસ ટકા લાભ આપે છે. પ્રશ્નકર્તા : કારણ કે ગવર્મેન્ટવાળા તો પાછા ચોરી કરે એ અંદર ને અંદર. આપણે ગવર્મેન્ટમાં ટેક્સ આપીએ તો એ ગવર્મેન્ટમાં આપણા લોકો બહુ ખઈ જાય છે. દાદાશ્રી : લોભિયા લોકોને લોભ ઓછો કરવા માટે ટેક્સ બહુ સારામાં સારી વસ્તુ છે. લોભિયા માણસ મરતાં સુધી પાંચ કરોડ થાય તોય એ ધરાય નહીં. ત્યારે આવો દંડ મળે ને એટલે પાછો પડ્યા કરે, વારેઘડીએ. એટલે સારી વસ્તુ છે આ તો. ઈન્કમટેક્સ તો કોને કહેવાય ? જે પંદર હજાર ઉપર લેતા હોય તે પંદર હજાર ઉપર તો લોકો છોડી દે છે બિચારા, ત્યારે પંદર હજાર રોફથી ખાય-પીવેને ! એક કુટુમ્બમાં ખાતાં-પીતાંને હરકત ના આવેને ! નાના કુટુંબોને, નાની ફેમિલીઓને પણ બહું ટેક્સ નથી ને ? ત્યાં એક માણસને જેટલી આવક હોય, તે બધી સાઠ ટકાના સ્લેબમાં જતી હોય અને એટલા જ કમાવવાવાળો અહીં આગળ છે તે દસ ટકાના સ્લેબમાં જાય એવા કાયદાઓ છે. જાત જાતના કાયદાનો લાભ લોકો ઉઠાવે છે અને રૂપિયા આવ્યા તો સરકારને આપવાના છે ને ! આપણી રૂપિયા પાસે ના આવે તો સરકાર આપણને કંઈ ના કહે ને ! ભક્તિ ત્યાં ન દુઃખપ્રશ્નકર્તા : ભગવાનની ભક્તિ કરવાવાળા ગરીબ કેમ હોય છે (પા.૯૯)અને દુઃખી કેમ હોય છે ? દાદાશ્રી : ભક્તિ કરવાવાળા ? એવું છે ને, ભક્તિ કરવાવાળા કંઈ દુઃખી હોય છે એવું કશું નહીં, પણ તમને દુઃખી દેખાય છે, મહીં અમુક અમુક માણસો. બાકી ભક્તિ કરવાને લીધે તો આ લોકોને બંગલા છે. એટલે ભગવાનની ભક્તિ કરતાં કરતાં દુઃખી હોય એવું બને નહીંને, પણ આ દુઃખ તો એમનો પાછલો હિસાબ છે. અને અત્યારે ભક્તિ કરી રહ્યો છે તે નવો હિસાબ. એ જ્યારે આવે ત્યારે. તે આજે પાછલું જમે થયેલું છે, એ પાછળ કરેલું તેનું ફળ આવેલું છે. આ હવે અત્યારે કરે છે. જે સારું કરે છે તેનું ફળ હજુ હવે આવશે. સમજ પડીને ? તમને સમજાય એવી છે વાત ? ના સમજાય તો કાઢી નાખીએ વાત. પ્રશ્નકર્તા : સમજાય છે. દાદાશ્રી : તો આજે સારું કરવું, એડજસ્ટ કરવું. અત્યારે જે ફળ આવ્યું છે, તે પોતાની જ બ્લંડર્સ અને પોતાની જ ભૂલોનું પરિણામ છે. બાકી ભક્તિથી દુઃખ આવે નહીં ને ? ભક્તિથી દુઃખ હોતું હશે ? હા, લક્ષ્મીજીની ભક્તિ કરો તો દુઃખ આવેય ખરું. પણ ભગવાનની ભક્તિ કરતાં દુઃખ કેમ આવે ? પ્રશ્નકર્તા : ભગવાન હોય, તો સાથે લક્ષ્મીજી આવે. દાદાશ્રી : લક્ષ્મીજી વધુ હાજર હોય એમની જોડે તો ! આનંદ પ્રાપ્તિના ઉપાયપ્રશ્નકર્તા : માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય એની સેવા કરવી કે ભગવાનની ભજના કરવી ? કે કોઈને દાન આપવું ? શું કરવું ? દાદાશ્રી : માનસિક શાંતિ જોઈતી હોય તો આપણી ચીજ બીજાને ખવડાવી દેવી. કાલે આઈસક્રીમનું પીપડું ભરીને લાવજે અને આ બધાંને ખવડાવજે. તે ઘડીએ આનંદ કેટલો બધો થાય છે તે તું મને કહેજે. આ લોકોને આઈસક્રીમ ખાવો નથી. તું તારે શાંતિનો અખતરો કરી જો. આ કંઈ શિયાળામાં નવરા નથી આઈસક્રીમ ખાવા. એવી રીતે તું જ્યાં હોય (પા.૧૦૦)ત્યાં, કોઈ જાનવર હોય, આ માંકડા હોય છે તેમને ચણા નાખ નાખ કરે તો તે કૂદાકૂદ કરે, ત્યાં તારા આનંદનો પાર નહીં રહે. એ ખાતાં જશે અને તને આનંદનો પાર નહીં રહે. આ કબૂતરાંને તું ચણ નાખે તે પહેલાં કબૂતરાં આમ કૂદાકૂદ કરવા માંડે. અને તેં નાખ્યું, તારી પોતાની વસ્તુ તે બીજાને આપી કે મહીં આનંદ શરૂ થઈ જાય. હમણા કોઈ માણસ રસ્તામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો અને લોહી નીકળતું હોય ત્યાં તારું ધોતિયું ફાડીને આમ બાંધું તે વખતે તને આનંદ થાય. ભલેને સો રૂપિયાનું ધોતિયું તે ઘડીએ તું બાંધું પણ તે ઘડીએ તને આનંદ ખૂબ થાય. સમક્તિીનો લક્ષ્મી વ્યવહારપ્રશ્નકર્તા : દાદાના મહાત્માઓની પાસે લક્ષ્મી હોય તો એણે શું કરવું ? દાદાશ્રી : એનો વાંધો નહીં, તમારે વાંધો નહીં, તમારે તો કરવાનું. દાદા તમારે માથે છે, તમારે તો મહીં મુશ્કેલી ઊભી થાય તો અમને પૂછવી બસ એટલું જ. આ બધું કરવાનું મારે. હું તમને કહું છું ને કે આ બધું કરવાનું મારે. તમારે કશું કરવાનું નહીં. તમારે મારી આજ્ઞામાં રહેવાનું. બધું આવવાનું, તમારે ફક્ત શું થવાનું કે રૂપિયાની જોડે વ્યવહાર તો કરવો રહ્યો. એ તમારે નથી વ્યવહાર છતાં કરવો પડે છે એવું રહેવું જોઈએ. નથી કરવા જેવું છતાંય કરવો પડે છે એમ કહેવું. એમાં શોખીન ના થઈ જવાય એટલું જોજો. ખાવ, પીવો, બધું ખાજો એમ કહું છું. આહારી આહાર કરે છે તે તમારે જાણવું જોઈએ. તમારે તો એમ કહેવું, કારણ કે એ આહારી જ આહાર કરે છે. પણ તમે એ જાગૃતિ ભૂલી જાવ તે ઘડીએ એ ચોંટે ! પ્રશ્નકર્તા : રોજિંદા જીવનમાં મિથ્યાદ્રષ્ટિ ખસતી નથી, સમ્યક્દ્રષ્ટિ જોઈએ છે. તો એનો કેમનો સમન્વય કરવો ? દાદાશ્રી : સમ્યક્દ્રષ્ટિ છે જ, તમને જે મિથ્યાદ્રષ્ટિ દેખાય છે એ (પા.૧૦૧)તમારી નથી. એ દ્રષ્ટિ પર તમને હવે પ્રેમ નથી. પ્રેમ છે ? ના. તમને સમ્યક્દ્રષ્ટિ પર જ પ્રેમ છે. જ્યાં પ્રેમ ત્યાં તમારી વસ્તુ. હવે તમને એના પર પ્રેમ નથી. હવે એ છે નિકાલી બાબત. ભૌતિક દ્રષ્ટિ કરીને મારા હાથમાં રૂપિયા મૂકે તો શું હું થોડીવાર પછી નાખી દઉં ? મિથ્યા છે માટે ? ના, ના નખાય. વ્યવહારના લોકોય કહે, ‘ગાંડા છે, જ્ઞાની ન્હોય !’ જ્ઞાની ધીમે રહીને ગજવામાં મૂકી દે તો શું મિથ્યાદ્રષ્ટિ થઈ ગઈ ? આ તો વ્યવહાર છે. દાઢી કરાવો, ક્લીન શેવ કરાવે તો મિથ્યાત્વ થઈ ગયું ? તું આવડી મૂછો રાખું તો સમક્તિ થઈ ગયું ? એવું કશું નથી. પ્રશ્નકર્તા : એવું નથી દાદા, એ લાઈન ઑફ ડિમાર્કેશન મહત્ત્વનું છે (ભેદરેખા મહત્ત્વની છે). દાદાશ્રી : એ દ્રષ્ટિએ તમને સમક્તિ જ છે. સમ્યક્દર્શન છે તેથી તમને મિથ્યા દ્રષ્ટિનો ભય રહ્યા કરે છે. પહેલાં ભય નહોતો લાગતો. પહેલાં ભય લાગતો હતો તમને કે આ મિથ્યાદ્રષ્ટિ થઈ જશે ? આ તો શંકા છે તમને કે આ મિથ્યાદ્રષ્ટિ હશે કે શું ? એ શંકા હતી ખાલી, એવું તેવું છે જ નહીં, કારણ કે અનાદિ કાળથી આરાધેલી, એટલે આ ઓળખાણ તો જાય નહીં ને બળી ! બાકી આ પૈસા ગણી લઈએ, બધું કરી લઈએ, શાકભાજી લઈએ ને રૂપિયા-પૈસા પાછા લઈએ એની પાસેથી. તેથી કંઈ બગડી જતું નથી. પ્રશ્નકર્તા : પણ શાકવાળી જોડે કચ કચ કરે તો ? દાદાશ્રી : એ કચ કચ કરે તો અમે કહીએ, ‘બેન શું કરવા આમ કરે છે ? અને તારે બે આના વધારે જોઈએ તો લઈ લે પૈસા. પણ કચકચ ના કરીશ બા.’ એમ તેમ કરીને પતાવી દઈએ. એ કહે, ‘એક રૂપિયો વધારે આપતા જાવ’, તો અમે કહીએ, ‘આઠ આનામાં પતાવી દે ને.’ ના માને તો બાર આનામાં પતાવી દઈએ. નહીં તો રૂપિયો લઈ લે ! પ્રશ્નકર્તા : રૂપિયો આપી દેવો. દાદાશ્રી : પણ કકળાટ ના કરીએ. પ્રશ્નકર્તા : એ સમ્યક્દ્રષ્ટિવાળો ? (પા.૧૦૨)દાદાશ્રી : હા, એ નિવેડો લાવે, નિવેડો ! અને જો એકદમ રૂપિયો આપી દઈએ તો બીજે દહાડે બે રૂપિયા માગીને ઊભી રહે. એટલે આપણા પેલા ભાઈ જેવું રાખવું. પેલી કહે કે એક રૂપિયો, તો આ કહે મારા પચાસ પૈસા ! પણ નિવેડો આવી જાય. પચાસ પૈસા કહેતાંની સાથે જ. એટલે જેવું માણસ એવું ચાલે છે ગાડું. પ્રશ્નકર્તા : પણ પૈસા પાછા લેવાના હોય તો રૂપિયાને બદલે તે આઠ આના જ આપે તો ? જવા દેવા ? દાદાશ્રી : ના, જે આપે તે લઈ લેવાના અને આપ્યા પછી એ કહેશે, ‘એ આઠ આના મને પાછા આપી દો, તો કહીએ લો બેન, ત્યાંથી ત્રીજો માણસ માપે કે આ બેમાં મમતા કોને છે, માપી લે, ત્રીજો માણસ. શું માપી લે ? પ્રશ્નકર્તા : મમતા ! દાદાશ્રી : ત્યારે બન્ને પૈસા બેય રાખે છે. પણ મમતા કોને છે ? થર્ડ પુરુષ માપે. એને મમતાવાળા કહેવાય ? પૈસા રાખ્યા એટલે મમતાવાળા ના કહેવાઈએ. પૈસા રાખવાના. બધું જ કરવાનું. સૈદ્ધાંતિક વાત છે ને ? પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : આપણે બધી સૈદ્ધાંતિક વાત હોવી જોઈએ. શાસ્ત્રમાં લખવા જેવી વાત હોવી જોઈએ. પુણ્ય શું કરે ?જોડે લઈ જવાનું છે ? તમારા ગામમાં મોટેલવાળા તો લઈ જાય જોડે ? ના લઈ જાય ? એમને કંઈ કળા આવડતી હશે. આ લઈ જવાનું. આપણે દેરાસરમાં આપોને એટલા એ આગળથી એટલા જમે થઈ ગયા અને આ આપણા મોક્ષને માટે ભક્તિ કરીએ છીએ. પેલું આગળ જમે થઈ ગયું અને પુણ્ય તો બહુ બહુ બાંધ્યું છે. ધર્મધ્યાન એ બધું નર્યું પુણ્ય જ છે. એ પુણ્ય શું કરે ? સારી જગ્યા આપે. ઘર બાંધવું ના પડે પછી. ઝૂંપડામાં જન્મ્યા હોય તો પછી ઘર બાંધવું પડે ને ? મહેનત બધી એમાં જતી રહે. આ તો તૈયાર બંગલો - ગાડી-બાડી ! એવું જોવામાં નથી (પા.૧૦૩)આવતું ?! લોકો તૈયારને ત્યાં જન્મે છે. પણ એ ડેવલપ ના થાય હંકે ! મનુષ્યભવનું ડેવલપ થવું હોય તે અહીં આગળ જરાક કાચું હોય ત્યાં જ જન્મ થાય, તો જ થાય. આ છોડીઓ, છોકરાં શી રીતે પૈણતાં હોય ? એવું છે ને, છોડીઓ પાછળ નાણાંનો ખર્ચો વધારે થાય છે. છોડીઓ એમનું લઈને આવી છે. તે બેન્કમાં જમા કરાવે. છોડીઓના પૈસા બેન્કમાં જમા થાય એ બાપા ખુશ થાય કે જો મેં સિત્તેર હજાર રૂપિયા ખર્ચીને પૈણાવી એ જમાનામાં ! એ જમાનાની વાત કરું છું. અલ્યા, તેં શું કર્યું ? એના પૈસા બેન્કમાં હતા. તું તો એનો એ છું. ‘પાવર ઑફ એટર્ની’ છે. તારે એમાં શું ? પણ રોફ એ મારી ખાય છે અને કો’ક છોડી ત્રણ હજાર લઈને આવી હોય તે વખતે ટાઢું પડી ગયું હોય. એના ધંધા-બંધા બધું. તે ત્રણ હજારમાં પૈણે કારણ કે એ જેટલા લાવી એટલા વાપરે. આ છોકરા છોડીઓ બધાનાં પોતાનાં નાણાં. આપણે બધા ભેગા કરીને મૂકીએ છીએ ને તે વહીવટ આપણા હાથમાં હોય છે એટલું જ છે. ભાવમાં તો નિરંતર...જેને નિકાલ કરવો છે એને આવી જશે. નિકાલ ના કરવો હોય તેને આવે નહીં. નિકાલ તો કરનારો અને જેને નિકાલ થતો હોય તે બધાય જાણી જાય કે નિકાલ કરે છે. નિકાલ એટલે બધાંના મનના સમાધાનનો કાયદો. પચાસ માંગતો હોય તેને પચાસ જ આપે એવો કંઈ કાયદો નહીં. થઈ ગયો નિકાલ. તું કેટલા રૂપિયે નિકાલ કરું તે દહાડે ? પ્રશ્નકર્તા : પચાસ રૂપિયે. દાદાશ્રી : પૂરેપૂરો ? ના હોય ત્યારે શું કરે ? હોય તો પૂરા આપી દેવા. ના હોય તો દસ વધતા ઓછા કરીને કેસ ઊંચો મૂકવો. સામો માણસ એમ નથી કહેતો કે, મારા પૂરા પૈસા આપ. સામો માણસ એટલું કહે કે ભાઈ, આ ફેર નથી. એટલે તમે નભાવી લેશો. ત્યારે કહે, હા, હા. નભાવી લઈશું એટલે થઈ ગયું ! આ દુનિયા એવી જ રીતે ચાલે છે ને, અહંકાર પોષવો જોઈએ. એના અહંકારને કંઈ ઠોકરો ન વાગવી જોઈએ. તે આપણા લોક કહે છે. મારે દૂધે ધોઈને આપવાના છે. અલ્યા, (પા.૧૦૪)અહંકાર છે ખોટો. દૂધે ધોઈને આપવાવાળા ! મારે પૈસા આપી દેવા છે ભાવ કરવાના, આપી દેવાય. લેતી વખતે પાછા આપી દેવાના છે, એવું નક્કી કરીને જે લે છે, એના વ્યવહાર બહુ સુંદર મેં જોયા ! કંઈ પણ નક્કી તો હોવું જોઈએ ને પહેલેથી ડિસિઝન ! પછી એક્સિડન્ટ થાય એ જુદી વસ્તુ છે, પણ ડિસિઝન તો હોવું જોઈએને ! આ તો પઝલ છે ને બધું ! પ્રશ્નકર્તા : પણ એ પઝલનો અંત જ નથી આવતો. દાદાશ્રી : અંત જ ના આવે. પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિ ને આ પઝલેય અનંત હોય એવું લાગે છે. દાદાશ્રી : એનું નામ જ પઝલ. હું મારું પઝલ તમને કહું ને, મારું પઝલ સાંભળે ને આ લોકો, તો... ! આખી જિંદગી પઝલ જ બહુ મોટાં મોટાં ! પ્રશ્નકર્તા : પણ દાદા, એ આપણું સુખ આવરી લે ને ! દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : એવું દાદા, ઘણી વખત બને છે. એનો અંત જ ના આવે. દાદાશ્રી : તમારે ખરુંને, તમારે અમુક જ વર્ષથી પ્રેક્ટિસમાં આવેલું અને મારે તો કેટલાય કાળથી આની આ પ્રેક્ટિસ. કેટલાય અવતારથી પ્રેક્ટિસ થતી થતી આવેલી, સમજ પડીને ? અમે સમજીએ આમ જ હોય, એ હું કહુંયે ખરો કે આનું નામ જ કાયદો. પેલો ઊલટો કહે કે હું તો હવે તમને તો આપવાનો જ નથી. એટલે હું એને કશું એવું ના બોલું કે ના આપીશ. હું સમજી જાઉં કે આ જ કાયદો. પ્રશ્નકર્તા : દાદા, આ તો ઘંટીના પડની માફક ચોંટતા પ્રશ્નો આવ્યા જ કરે. એ નિકાલ જ ના થતા હોય. (પા.૧૦૫)દાદાશ્રી : હા, શું થાય ? ગૂંચવાડો ઊભો થાય ! ચૂંથારો કરી નાખે. એવું જ બને. સંસાર છે ને ! પ્રશ્નકર્તા : એના માર્ગનો અંત ના આવે ? દાદાશ્રી : અંત આવી જવાનો ને ! અમુક કાળ સુધી જ આવું હોય પછી અંત આવી જવાનો. જતી વખતે...આ અક્રમ જ્ઞાન હિન્દુસ્તાનમાં આટલા બધા બુદ્ધિશાળીઓને ગાંઠતું નથી. ના ગાંઠે, કારણ કે બુદ્ધિ લિમિટેડ વસ્તુ છે અને જ્ઞાન તો અનલિમિટેડ વસ્તુ છે. જ્ઞાન વાસ્તવિક હોય. બુદ્ધિ ભ્રાંતિ હોય. બુદ્ધિ બે જ જુએ. નફો અને ખોટ ! નફો અને ખોટ ! નફો અને ખોટ ! ત્યારે નફો-ખોટ તે કંઈ જોડે આવવાનાં છે અહીંથી ? છેલ્લે સ્ટેશને અહીં સૂતાં સૂતાં લઈ જાય તે જોડે આવતું હશે ? ના આવે ? પેલાં ચાર નાળિયેર પાણી વગરનાં બાંધે બળ્યાં ?! તે ય છોકરાં કહે, અલ્યા એય પાણીવાળાં નારિયેળ ના આપીશ મને સસ્તામાં સસ્તાં આપ. ઈટ હેપન્સ, બધું થઈ રહ્યું છે. એની મેળે જ થઈ રહ્યું છે એવું તમને નથી લાગતું ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : પોતે કર્તા હોયને, પોતે આ જો કમાતો હોય તો કોઈ માણસ મરવાની કમાણી ના કરે. પણ મરવાની કમાણી કરે છે ને લોકો ? નથી કરતા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જો પોતે કમાતા હોય તો મરવાની કમાણી ના કરે. કોઈ કરે ? પણ જો જવું પડે છે ને ! રોફથી જાય છે ને ? સૂતાં સૂતાં ચાર નારિયેળ સાથે, રોફથી જાયને ? અને આપણા લોકો નીચેથી ચાર ખભે મૂકીને જાયને ! રોફભેર ! પહેલાં બાળવાની વ્યવસ્થા કરવી પડતી હવે તો હડહડાટ ઈલેક્ટ્રિસિટીમાં તે હાડકાં-બાડકાં બધું બાળી નાખે. (પા.૧૦૬)પરભવની જાળવણી...આપણે પૂછીએ કે કેમ સાહેબ ઉપાધિમાં ? ત્યારે કહે, ‘શું કરે ? આ ત્રણ દુકાનો, આ સાચવવાનું, ત્યાં સાચવવાનું, ને નનામી નીકળે ત્યારે નારિયેળ તો ચાર જ લઈ જવાનાં. દુકાન ત્રણ હોય કે બે હોય કે એક હોય તોય ચાર જ નારિયેળ અને તેય પાણી વગરનાં પાછાં. ત્રણ દુકાનો સાચવવાની મારે, કહેશે. ‘એક ફોર્ટમાં રહી, એક કાપડની દુકાન અહીં રહી, એક ભૂલેશ્વરમાં છે. પણ તોય શેઠના મોઢા ઉપર દિવેલ ચોપડેલું હોય છે. જમતી વખતે દુકાન, દુકાન, દુકાન ! રાતે સ્વપ્નમાં બધા તાકા માપે !! એટલે મરતી વખતે સરવૈયું આવશે. માટે સાચવીને હેંડો. કેવી રીતે સાચવીને ? ત્યારે કહે, અહીંથી કાઠિયાવાડ સુધીનો, બે ફૂટનો બ્રિજ બાંધેલો હોય, બે ફૂટનો પૂલ બાંધેલો હોય, કાઠિયાવાડ સુધીના દરિયા ઉપર, બ્રિજ કાઠિયાવાડના બંદર ઉપર મૂકેલો હોય ઠેઠ સુધી અને એની ઉપર રહીને કાઠિયાવાડ જવું છે અને બીજું ગાડીઓ-બાડીઓ બંધ થઈ ગઈ છે, અને બે ફૂટના પુલ પર રહીને જવાનું છે. બે ફૂટના પુલને ઓઠિંગણ નથી. એમ ને એમ જ છે. પ્લેટો મારેલી. ઠેઠ સુધી ઠોકર ના વાગે એવું સરસ, સુંવાળું લપસી ના પડે એવી ચેકર્ટ પ્લેટ પાછી. ત્યાં જતાં જતાં શું શું યાદ કરો ? કઈ કઈ દુકાન યાદ આવે ? પ્રશ્નકર્તા : બીજું કંઈ યાદ ના આવે. દાદાશ્રી : કેમ ? છોડીઓ તો યાદ આવે ને ? નાખો દરિયામાં, છિટ છિટ કહેશે. એની સેફ સાઈડ સાચવે મૂઓ ! ત્યારે અહીં પાંસરો મરને ! એક અવતાર પાંસરો મરે, તેના અનંત અવતાર સુધરી જાય. પાંસરો મર્યો એટલે. આ આવી રીતે આના પર જાય છે. તે પાંસરો ના જાય ? કંઈ પોલીસવાળો રાખવો પડે પાછળ ? પોલીસવાળો ના રાખવો પડે ? ત્યારે એવી આ કેડી છે, પણ એને ભાન નથી બિચારાને, એને ભાન નથી એટલે (પા.૧૦૭)બિચારો આવું કરે છે. કૂતરાના અવતારમાંય દુઃખી થયોને, અહીં પણ દુઃખી થયો ! આ અવતાર નિરાંતે શાકભાજી ખાવાની, મસાલેદાર ભાત બધું ખાવાનું છે. વેઢમી, જલેબીઓ ખાવાની તોય કૂતરાની પેઠ હાય-વોય કર્યા કરો છો ! અહીં તો નિરાંતે આવો પણ !! અને ભગવાન કા નામ લો ! પછી કબીર સાહેબ કહે છે ‘અલ્યા શું કરવાનું ?’ ‘ખા, પી ખીલાઈ દે,’ ઔર જ્યાદા હોય તો ‘ખા પી ખીલાઈ દે, કર લે અપના કામ, ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.’ શું કહે ? કબીરો ખોટું કહે છે ?! અહીંથી બે ફૂટના બ્રિજ ઉપર જવાનું હોય, તો પોલીસવાળો રાખવો પડે ? તમે તો કહોને ? અરે ! ઊભોય ના થાય. બેઠો બેઠો આમ ઝાલીને, આગળ ખસે ! અલ્યા ક્યારે પહોંચીશ ? ત્યારે કહે હઉ થઈ રહેશે ! મારી પાસે તો હં, ઢેબરાંય છે, ચણાય છે, એક હાથે ઝાલી રાખીને ખાતો જાય. છતાંય પહોંચી જાય એ. જેણે નિશ્ચય કર્યો છે એ પહોંચી જાય. તે ઘડીએ કશું સાંભરે નહીં ને ? એનું ભાન નથી તને આ. આવી રીતે એવા રસ્તે, એની ઉપર, પુલ ઉપર જ છે. પણ ભાન નથી કે હું શું કરી રહ્યો છું તે ! એ તો હું જ્યારે ભાનમાં લાવું છું ત્યારે ખબર પડે છે કે ઓહોહો ! આ તો મારે બહુ મોડું થઈ ગયું !! એવો ભાનમાં આવે ત્યારે ખબર પડે છે. નહીં તો બેભાન ! તે ઘડીએ વાઈફ દવાખાનામાં છે તે યાદ ના કરેને ? યાદ આવી હોય તોય ફેંકી દે. બધું આવડે છે જીવને ! ક્યાં ક્યાં નહીં વિચાર કરવાના ત્યાં નથી જ કરતો. જ્યાં વિચાર કરવાના ત્યાં વિચાર કરે છે. નથી કરવાના ત્યાં નથી કરતો. એવું હું જાણું છું કહેશે. પણ છતાંય ધંધાની બાબતમાં ચિંતા થાય ત્યાં સુધી વિચાર કરવાનો, મીઠો લાગે એટલે ! અમુક જગ્યાએ બંધ કરી દે, એ કડવો લાગે એટલે બંધ કરી દે અને આ સ્વભાવથી મીઠો લાગે. (પા.૧૦૮)ધંધાના વિચાર ક્યાં સુધી કરવાના ? કે જ્યાં સુધી વળે ના ચઢે, આમળે ના ચઢે, ત્યાં સુધી કરવાના, આમળે ચઢવા માંડ્યું એટલે બંધ કરી દેવું. નહીં તો માર્યા ગયા જાણજો. ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે. પછી ભાંભરે ! ચાર પગ ને પૂંછડું સમજ્યા તમે ? માણસમાંથી ક્યાં જાય પછી ? પ્રશ્નકર્તા : જાનવરમાં. દાદાશ્રી : પૂંછડું આમ ઊંચું રાખીને, આમ કૂદકા મારતો મારતો દોડે, ભાંભરડે ત્યાં જઈને ! બોલવા કરવાનું નહીં શીખેલા. કેટલાક લોકો ભાંભરડે, કેટલાક ભસે, એનું જુદું પાછું અને કેટલાક લોકો ભૂંકે. ભસે એટલે ટુ સ્પીક, સમજ પડીને ? બોંગડે ! શિર પે આઈ મોત !કબીરસાહેબ કહે છે તે ત્યાં દિલ્હીમાં એક ટેકરા જેવું હશેને, પચ્ચીસ-ત્રીસ ફૂટ ઊંચો ટેકરો હતો તેની ઉપર ચઢી ગયા. ટેકરા ઉપર. લુંગી એકલી પહેરેલી. બીજું કશું નહીં, અને પછી ત્યાંથી બૂમો પાડવા માંડી. ‘ઊંચા ચઢ પુકારિયા, બુમ્મત મારી બહોત, ચેતન હારા ચેતજો, શિર પે આયી મોત.’ લોક જતા-આવતા’તા તેને શું કહે છે કે ચેતો, ચેતો, તમારા માથા ઉપર મોત ભમતું મેં જોયું. ચેતો ચેતો ચેતનહારા એટલે ચેતનવાળા, ચેતન જેનામાં છે એ ચેતજો. આ બગીચાના થાંભલાને નથી કહેતો, થાંભલામાં ચેતન નથી ને !! તે લોક જતા’તા તે ઊભા રહ્યા. બે-ચાર જણ ફાળિયાવાળા ઊભા રહી ગયા. એક જોડું છે તે સિનેમા જોવા જતું’તું. તે ભઈએ લચકો અહીં નાખેલો. એના બાબાનો લચકો. તે બે જણ આમ પાછા ફરીને જોવા લાગ્યા કે ગાંડો મૂઓ છે, એ શું બોલે છે. કશી સમજણ જ નથી પડતી ! લે હવે એક બાજુ આ ચેતવે છે. ત્યારે એ કહે છે ગાંડો છે ! ઐસી (પા.૧૦૯)આ દુનિયા, પેલાને લાગણી થાય બિચારાને ત્યારે આ કહે, ગાંડો છે ! તારે કઈ દુનિયામાં રહેવું છે ? લાગણીવાળાની દુનિયામાં કે ગાંડાની દુનિયામાં ! પ્રશ્નકર્તા : લાગણીવાળાની. દાદાશ્રી : એમ ? ગાંડાની દુનિયામાં નહીં ? બાકી આ તો પ્રવાહ બધો એવો જ હં. (પા.૧૧૦)(૩) ધંધો, સમ્યક્ સમજણેએન્જિન ફરે, પણ પટ્ટો ક્યાં ?દાદાશ્રી : તમે ધંધો શું કરો છો ? પ્રશ્નકર્તા : રેડીમેડ કાપડની દુકાન છે. દાદાશ્રી : શેના હારુ ધંધો કરો છો ? પ્રશ્નકર્તા : નફા સારુ જ કરીએ છીએ ને ? દાદાશ્રી : નફો શેના માટે કરો છો ? પ્રશ્નકર્તા : પેટ માટે. દાદાશ્રી : પેટનું શાના હારુ કરો છો ? પ્રશ્નકર્તા : એ ખબર નથી. દાદાશ્રી : એટલે પેટમાં પેટ્રોલ નાખવા હારુ આ બધી કમાણી કરે છે. એ શેના જેવું છે ? આ એન્જિનો બધાં ચાલતાં હોય તે પેટ્રોલ નાખે અને ચાલુ રાખ્યા જ કરે. પેટ્રોલ નાખે ને ચાલુ રાખ્યા કરે. એવું બધાય કરે છે. એવું તમેય કરો છો ? પણ શા હારુ એન્જિન ચાલુ રાખવું જોઈએ, એ કહો તો ખરા ! મહીં કામનું કશું કરવાનું નથી ? આ એન્જિન તો બધા લોકોએ ચાલુ રાખેલાં, પણ તમે શા હારુ રાખ્યું ? તમારે વિચાર તો કરવો પડે ને કે ભઈ, હવે એન્જિનમાં પેટ્રોલ નાખી, મોંઘા ભાવનું પેટ્રોલ નાખી, એન્જિન ચાલુ રાખવું. તો લોકોને જોવા માટે છે આ બધું ? પ્રશ્નકર્તા : પોતાનું જ જોવા માટે આ બધું છે. (પા.૧૧૧)દાદાશ્રી : એન્જિનને પટ્ટો આપીને કશું આમાંથી કામ કાઢી લેવાનું હોય. એટલે આ પેલામાં તો કામ કાઢી આપે. પણ આમાં શેના હારુ એન્જિન ચલાવીએ છીએ ? તમે ચલાવ ચલાવ જ કર્યા કરો છો, બસ ! સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, બસ ! પ્રશ્નકર્તા : શરીરને ખાવાપીવાનું જોઈએને ? દાદાશ્રી : એમ ? આ કરો તો જ ખાવાપીવાનું મળે, નહીં તો મળે એવું નથી, નહીં ? અને ખાવાપીવાનું શેને માટે ? પ્રશ્નકર્તા : શરીર ટકાવવા માટે. દાદાશ્રી : શરીર શેના માટે સાચવવાનું ? દાદાશ્રી : કુદરતે આપ્યું છે એટલે ચલાવવાનું. દાદાશ્રી : હા, પણ શેના માટે ટકાવવાનું ? કંઈક હેતુ હોવો જોઈએ ને ? ધંધો કરીએ તે આ ખોરાક ખાવા માટે મેઈન્ટેનન્સ કરવા માટે. મેઈન્ટનન્સ શેને માટે કે શરીર ટકાવવા માટે, તો શરીર ટકાવવાનો હેતુ શેને માટે ? પ્રશ્નકર્તા : અગાઉનાં કર્મ પૂરાં કરવા માટે હોય. દાદાશ્રી : એટલા હારુ ? એ તો કૂતરાં, ગાયો, ભેંસો, બધાં પૂરાં કરે છે. અને હિન્દુસ્તાનમાં મનુષ્ય થયા, એટલે મોક્ષ હેતુ માટે છે આ. હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મ મોક્ષ હેતુ માટે છે. એને માટે જ આપણું જીવન છે. હેતુ એ રાખ્યો હોય તો જેટલો મળે એટલો ખરો. પણ હેતુ તો જોઈએ ને ? આ ખાવાપીવાનું તેને લીધે છે. આપને સમજાયું ને ? જીવન શેના માટે જીવવાનું છે ? ખાલી કમાવા માટે જ ? જીવમાત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવન જીવવાનું છે. આમાં મોક્ષનો માર્ગ કાઢી લેવાનો છે. મોક્ષના માર્ગ માટે આ બધું છે. જીવન, શેના અર્થે ?બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે તે તો કો’ક જ માણસ હોય. (પા.૧૧૨)બીજા બધા લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મીજી પાછળ તો આખું જગતેય ગાંડું થયેલું છે ને ! તોય એમાં સુખ જ નથી કોઈ દહાડોય ! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને એ બપોરે કારખાનામાં હોય. પંખા ફર્યા કરે, ભોગવવાનું તો રામ તારી માયા ! એટલે આત્મજ્ઞાન જાણો ! આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું ? ત્યાં વસે પ્રભુ ?દાદાશ્રી : કેટલી ઉંમર થઈ શેઠ ? પ્રશ્નકર્તા : બાવન વર્ષ થયાં ! દાદાશ્રી : એટલે હજી તો અડતાલીસ રહ્યા ને ? સોનો હિસાબ તો ખરો જ ને આપણો ? પ્રશ્નકર્તા : એ તો જ્યાં સુધી કામકાજ થાય ત્યાં સુધી કરવું ને પછી ભગવાનને ત્યાં ચાલ્યા જવું ? દાદાશ્રી : ક્યાં ચાલ્યા જવું ? પ્રશ્નકર્તા : છેલ્લે સ્ટેશને. દાદાશ્રી : છેલ્લે સ્ટેશને જવાનું પણ તે પહેલાં કશું કરવું પડે ને ? આવતા ભવનાં પોટલાં બાંધવાં પડે ને ? કે ના બાંધવા પડે ? તમે બાંધીને તૈયાર રાખી મેલ્યાં છે ? પ્રશ્નકર્તા : મને એમ લાગે છે કે માણસ પ્રામાણિકપણે જીવે અને જેના જેના સંસર્ગમાં આવે ત્યાં પ્રામાણિકપણે વર્તે તે સારું જ પોટલું છે. દાદાશ્રી : બસ, બસ ! આના જેવું એકુંય નહીં. પણ બધે પ્રામાણિકપણું હોવું જોઈએ. આમ કેટલા કાળથી પ્રામાણિક જીવન જીવ્યા ? કોઈ પણ માણસ પ્રામાણિક જીવન જીવે છે, નૈતિક જીવન જીવે છે, ત્યાં ચોવીસેય તીર્થંકરોનો વાસ છે. એટલે આટલું શરૂ કરી દે તો બહુ થઈ ગયું. (પા.૧૧૩)ત્રણ વસ્તુથી ધર્મકોઈ પૂછે કે મારે ધર્મ શું પાળવો ? ત્યારે કહીએ કે આ ત્રણ વસ્તુ પાળને બા : (૧) એક તો નીતિમત્તા ! એ જરા ઓછું-વત્તું વખતે થાય એમ માનોને, પણ નીતિમત્તા પાળવી આટલું તો કર ભાઈ. (૨) પછી બીજું ઓબ્લાઇઝિંગ નેચર તો રાખ ! પૈસા ના હોય તો રસ્તે જતાં કહીએ, ‘તમારે કંઈ બજારમાં કામકાજ હોય તો મને કહો, હું જાઉં છું બજારમાં’ એમ પૂછતા જઈએ, આ ઓબ્લાઇઝિંગ નેચર. (૩) અને ત્રીજું એનો બદલોય લેવાની ઇચ્છા નહીં. અને જગત આખું બદલાવાળું. તમે ઇચ્છા કરો તોય બદલો લે ને ના ઇચ્છા કરો તોય બદલો લે. એમ એક્શન, રિએક્શન આવે. ઇચ્છાઓ તમારી ભીખ છે. તે નકામી જાય છે. ભગવાન, ત્યાં આનંદતમે ઇચ્છાઓ કરેલી કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : હા, ઇચ્છાઓ કરેલી. દાદાશ્રી : કોની પાસે ? ભગવાન પાસે ? એમની પાસે શું છે તે ? એ શેરબજારિયા ન હોય ને ?! લોકો તો ભગવાન પાસે ઇચ્છા રાખે છે. હા. ભગવાનનું નામ દેવાથી આનંદ થાય. આવરણ ખસે. તરત પ્રાર્થના કરે કે મહીં આનંદ થાય. પછી જ્ઞાન જાણતો હોય કે ના જાણતો હોય, પણ જો કદી મહીં ભગવાન છે એવી ખાતરી થાય, ત્યારે વધારે આનંદ થાય. મહીં ભગવાન છે એવું જો નક્કી થયું ને તો પૂરો આનંદ થાય. પ્રામાણિકતા એ જ પ્રભુનો પંથપ્રશ્નકર્તા : આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ ? દાદાશ્રી : એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે ત્યારે આત્મશક્તિનો (પા.૧૧૪)આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-બૈસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રામાણિકપણું એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં, પ્રામાણિકપણું ના હોય અને ભક્તિ કરીએ એનો અર્થ નથી. પ્રામાણિકપણું જોડે જોઈએ જ. પ્રામાણિકપણાથી માણસ ફરી માણસ થઈ શકે છે. માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહક્કનું પડાવી લે છે, અણહક્કનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે. એમાં કોઈ મીનમેખ ફેરફાર કરનારું નથી. કારણ કે એનો સ્વભાવ એવો બંધાયો, અણહક્કનું ભોગવી લેવાનો. એટલે ત્યાં જાય તો ભોગવાય ત્યાં આગળ. ત્યાં તો કોઈ કોઈની બૈરી જ નહીં ને ! બધી બૈરીઓ પોતાની જ ને ! અહીં મનુષ્યમાં તો પરણેલા લોકો એટલે કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ ના બગાડીશ પણ તે હવે ટેવ પડી ગયેલી હોય, આદત પડી ગયેલી હોય, તે પછી ત્યાં જાય, ત્યારે રાગે પડે એનું. એક અવતાર, બે અવતાર ભોગવી આવે ત્યારે પાંસરો થાય. એને પાંસરો કરે છે આ બધા અવતારો. પાંસરો કરીને પાછો અહીં આવે છે. પાછો, ફરી પાછો આડો થયો તો ફરી પાંસરો કરે. આ બધું પાંસરા કરતાં કરતાં પાંસરો થઈ ગયો કે પેલા મોક્ષને માટે લાયક થઈ ગયો. આડાઈઓ હોય ત્યાં મોક્ષ થાય નહીં. ત્યાં નહીં બંધનપ્રશ્નકર્તા : નૈતિકતાનું મૂલ્ય બદલાયું કે નૈતિકતાનું મૂલ્ય એનું એ રહ્યું ? એક દાખલો આપું. ગાડીમાં ટિકિટ લઈને બેસવું પડે છે, એ નૈતિક મૂલ્ય થયું. પણ હવે તો ટિકિટ સિવાય પાઘડી આપવી પડે, એ પાઘડી એ પાપ ખરું કે નહીં ? દાદાશ્રી : પાપ ખરું ને ! બધું પાપ ખરું, પણ એ સંજોગો એવા હોય એટલે આપણને ગરજ હોય, તો શું કરવું પડે ? પ્રશ્નકર્તા : પછી એનું બંધન ખરું ? સંજોગો હોય અને આપવું પડે એનું બંધન ખરું ? દાદાશ્રી : ખરું. આપનારનેય બંધન, લેનારનેય બંધન. બન્નેયને (પા.૧૧૫)બંધન. આપનારા પેલા લોકોને એન્કરેજ કરે છે. ગુના એટલે ગુના જ હોય. પણ એવો જમાના પ્રમાણે વેશ ના કરે તો માર ખાય. પ્રશ્નકર્તા : તે આ ‘જ્ઞાન’ લીધેલા મહાત્માઓને લાગુ પડે કે નહીં ? દાદાશ્રી : ના. મહાત્માઓને એવું છે ને, મારું કહેવાનું કે એ સંજોગ આવે એટલું એમાં ‘તમે’ જુદા અને ચંદુભાઈ જુદા. તે ચંદુભાઈ સંજોગ ‘અનુસાર’ જે ચાલે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : એ જ કહું છું ને ! એટલે એને લાગુ પડે નહીં ને ? એને બંધન ના પડે ને ? દાદાશ્રી : બંધન શી રીતે પડે પણ એને ? તમે શુદ્ધાત્મા છો, જ્યારે તમે ચંદુભાઈ છો તો બંધન પડે. પ્રશ્નકર્તા : પણ આજે જો જીવવું જ હોય તો બીજો કોઈ રસ્તો જ નથી પણ. દાદાશ્રી : રસ્તો જ નથી. પ્રશ્નકર્તા : આજે વેપાર કરવો હોય તોયે કંઈ કરવું પડે. દાદાશ્રી : બધું જ સંજોગ જ એવા મુકાયેલા છે કે એમાં માણસનું કશું ચાલી શકે નહીં. બંધન તો આપણું જ્ઞાન હોય તો નથી, નહીં તો બંધન જ છે ને ! અંતે તો કુદરતની જપ્તીએવું છે ને, હિતાહિતનું સાધન પોતાને શું કરવું જોઈએ એ જીવે કોઈ દહાડોય સાંભળ્યું નથી. પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એનું ભાન જ નથી થયું. પોતે પોતાનું હિતાહિતનું સાધન લોકોનું જોઈને કરે છે. લોકો પૈસા પાછળ પડે છે. પૈસા લાવીશ તો સુખી થઈ જઈશ. પણ કંઈ એનું હિત થતું નથી. ‘બાય, બોરો ઓર સ્ટીલ, (ખરીદો, ઉછીનું લાવો અથવા ચોરી કરો) એ રીતથી પૈસા લાવે એ ચાલે નહીં. ગમે તે રસ્તે પૈસા લાવે એ ચાલે ? કંઈ નીતિમય તો હોવું જોઈએ ને ? નીતિમય પૈસા (પા.૧૧૬)લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તીમાં જાય અને પોતે ત્યાં આગળ જે ગૂંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે. પ્રામાણિકતાથી ધોવાય દુર્ગુણોજૂઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ ઓબ્લાઇઝિંગ (પરોપકારી સ્વભાવ) જોઈએ. જૂઠું તો શાથી બોલવું પડ્યું કે વૈદે કહ્યું હોય કે મરચું ન ખાશો. પણ મરચું ખાધા વગર તો ચાલતું જ ના હોય તો જૂઠું બોલવું પડે ને ? તો જૂઠું બોલવું એ ગુનો નથી. પ્રામાણિકતા તોડવી એ ગુનો છે. જૂઠું તો સંજોગવશાત્ બોલવું પડે. મરચાની મને ટેવ પડેલી હોય ને પેલો કહે કે મરચું નથી ખાવાનું, ત્યારે મારે શું કહેવું પડે ? ‘હું મરચું ખાતો જ નથી !’ એટલે જૂઠું સંજોગવશાત્ બોલવું પડે. આ સાઇકલ પરથી એક જણ ઊતરી પડ્યો ને પોલીસવાળાએ જોઈ લીધા પછી તમને કહેશે કે કેમ બે જણ બેઠા હતા ? ત્યારે કહીએ કે, ‘ના સાહેબ, હું તો એકલો જ હતો.’ એ તો બોલવું જ પડે ને ! નહીં તો પકડાઈ જાય. એટલે જૂઠું બોલે તેનો વાંધો નથી, પણ પ્રામાણિકતા તોડી તેનો વાંધો છે. પ્રામાણિકતા, નૈતિકતા, ઓબ્લાઇઝિંગ નેચર હોય તેને બધા દુર્ગુણો ધોવાઈ જાય. નીતિની ભજના જરૂરીભગવાનને ના ભજે ને નીતિ રાખે તોય બહુ થઈ ગયું. ભગવાનને ભજતો હોય ને નીતિ ના રાખતો હોય તો તેનો કોઈ અર્થ નથી. એ મીનિંગલેસ (અર્થહીન) છે. છતાં આપણે પાછું એવું ના કહેવું. નહીં તો એ પાછો ભગવાનને છોડી દેશે અને અનીતિ વધારે કર્યા કરશે. એટલે નીતિ જેવું રાખવું. એનું ફળ સારું આવે. ત્યાં સુખ સાંપડે સંસારમાંયસંસારી આનંદ જે થાય છે એ તો મૂર્છા છે, લગ્નમાં ગયો હોય તે દહાડે ચિંતા બધી જતી રહે, વાજાં વાગ્યાં, વરઘોડો આવ્યો કે બધું દુઃખ (પા.૧૧૭)ભૂલી જાય ને મૂર્છામાં ને મૂર્છામાં ફર્યા કરે. પણ ઘર આવે ત્યારે એનું એ જ હોય પાછું, બાકી જગતમાં સુખ હોય નહીં કોઈ જગ્યાએ. છતાં જગતમાં સુખ એક જગ્યાએ છે. જ્યાં સંપૂર્ણ નીતિ હોય, દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય ત્યાં આગળ સુખ છે, અને બીજું જે સમાજસેવક હોય, અને તે પોતાને માટે નહીં, પણ પારકાને માટે જીવન જીવતો હોય તો એને બહુ જ સુખ હોય, પણ એ સુખ ભૌતિક સુખ છે, એ મૂર્છાનું સુખ ના કહેવાય. એને પરવાનો પ્રભુનોપ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલીઓ આવે છે, એ કેમ એમ ? દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યું તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાની મુશ્કેલીઓમાંથી છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ ભગવાનનું મોટું ‘લાઇસન્સ’ (પરવાનો) છે. એનું કોઈ નામ ના દે. તમને એ ‘લાઇસન્સ’ ફાડી નાખવાનો વિચાર થાય છે ? વેપારમાં ત્રણ ચાવીઓઆ વાક્યો તમારી દુકાને લગાડશો : (૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો. (૨) ભોગવે તેની ભૂલ. (૩) ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ ! ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી, એ ક્યારેય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઈ છે, અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય ? ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ (પા.૧૧૮)તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા તેમાં કોઈ ‘પોલ’ મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા ? આ ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મૂકવો ? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઈએ ને ! પણ આ તો ઘરમાં વિશ્વાસ, એ ય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઈની સત્તા નથી, કોઈ કશું કરી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોય તો તો કોઈ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પરસત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઈ જાય ને ના ગમતું હોય ત્યાં ય લઈ જાય. ન ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પરસત્તા જ ને ! ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી રાખવાની, પણ આ વાક્ય હવે અસર વગરનાં થઈ ગયાં છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, ‘ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ’ પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થી ગયા છે. ‘બીવેર ઓફ થીવ્ઝ’નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ ‘ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી’નું લોકો બોર્ડ મારે છે. છતાંય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને સૂત્રોની જરૂર છે. માટે અમે કહીએ છીએ કે ‘ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ’નું બોર્ડ મૂકજો. સત્યનિષ્ઠા ત્યાં ઐશ્વર્યકશું દુનિયામાં છે નહીં એવું નથી. બધી જ ચીજ દુનિયામાં છે. પણ ‘સકળ પદાર્થ હૈ જગમાંહિ, ભાગ્યહીન નર પાવત નહીં’ એવું કહે છે ને ? એટલે જેટલી કલ્પના આવે એટલી બધી જ ચીજ જગતમાં હોય, પણ તમારા અંતરાય ના હોવા જોઈએ, તો ભેગી થાય. સત્યનિષ્ઠા જોઈએ. ઈશ્વર કંઈ મદદ કરવા નવરો નથી. કોઈનેય કશી મદદ કરવા એ નવરો નથી. તમારી સાચી દાનત હશે તો તમારું ફળશે. દાનત જૂઠી હોય અરે ઈશ્વરને આરોપ કરે તો શું થાય ? ઈશ્વર તો બિચારો કંટાળીને નાસી જાય (!) આ સંસારમાં બધી જ ચીજ છે. પણ તમારે ભાગે કઈ આવી તે (પા.૧૧૯)જોઈ લો. તમારે ભાગે માંસાહાર આવ્યો તો જોઈ લો, ને તમારે ભાગે શાકાહાર આવ્યો તો તે જોઈ લો. તમારે ભાગે આવે તે તમારા હાથનો ખેલ નથી. એની પાછળ બધા સંજોગો, સાંયોગિક પુરાવાઓ છે. અને તમે સાચા છો તો તમને બધું જ મળશે. જો તમે વ્યવહારમાં સાચા રહેશો, તો તમને બધી જ ચીજ મળશે. લોક કહે છે, ‘સાચાને ઈશ્વર મદદ કરે છે !’ પણ ના, એવું નથી. ઈશ્વર સાચાને મદદ કરતો હોય તો ખોટાવાળાએ શું ગુનો કર્યો છે ? તો ઈશ્વર પક્ષપાતી છે ? ઈશ્વરે તો તો બધે નિષ્પક્ષપાતી રહેવું જોઈએને ? ઈશ્વર એવી કોઈ મદદ કરતો નથી. ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વરનું નામ યાદ કરતાંની સાથે જ આનંદ થાય. તેનું કારણ શું છે કે એ મૂળ વસ્તુ છે. અને તે પોતાનું સ્વરૂપ જ છે. એટલે યાદ કરતાંની સાથે આનંદ થાય. આનંદનો લાભ મળે. બાકી ઈશ્વર કશું કરી આપે નહીં. આપવાનું એ શીખ્યા જ નથી. અને એમની પાસે કશું છે પણ નહીં તો શું આપે ? પ્રશ્નકર્તા : પણ એ આનંદ આપે છે ને ? દાદાશ્રી : એ તો પોતાનો સ્વાભાવિક આનંદ છે. યાદ કરો એટલે તમને આનંદ ઉત્પન્ન થાય. જેમ કેરીને યાદ કરવાથી મોઢામાં પાણી આવે છે ને ? કેરી જોઈએ છીએ, ત્યારે મોઢામાં પાણી આવે એવું ભગવાનને યાદ કરો તો આનંદ થાય. સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્ય, નિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે. સત્ય પણ કાળાધીનપ્રશ્નકર્તા : સત્ય વસ્તુ હમેશાં બહુ તકલીફ આપે છે. જીવનમાં સત્ય એક હોતું નથી. ઘરમાં એક સત્ય હોય, ધંધામાં બીજું સત્ય હો. ઘણીવાર મારું સત્ય એક જ હોય અને આ ભાઈને બે સત્ય હોય - એમને જીવનનું સત્ય એક હોય અને વેપારનું સત્ય બીજું હોય. જીવનનું સત્ય એટલે ઘરમાં એ ભાઈ જૂઠું ના બોલી શકે અને વેપારમાં સત્ય બોલે તો ચાલે નહીં. અને મારે પિતા તરીકે એક સત્ય છે, જીવનનું મારું આ એક સત્ય જ છે. અને આ ભાઈને બે સત્ય એક રાખવાં પોષાય નહીં, એમને (પા.૧૨૦)બે અલગ અલગ સત્ય હોઈ શકે જ. તો શું સત્ય બે હોય છે ? કે સત્ય એક જ હોય ? દાદાશ્રી : હા, બધે સત્ય જુદાં જુદાં હોય. ધંધામાં એક હોય તો બીજે જુદું હોય. એક જ મુશ્કેલી ઊભી થઈ છે. વેપારમાં જે સત્ય છે એ કાળને આધીન છે. સત્યુગમાં કળિયુગના પ્રકારનું સત્ય ન હતું. આજનું સત્ય એ કળિયુગનું સત્ય છે. કળિયુગનું સત્ય એટલે કપટ સાથેનું સત્ય. અને પેલું સત્ય એટલે કપટ રહિતનું સત્ય, એટલે કાળને આધીન, સંજોગવશાત્ છે. સંજોગવશાત્ આ બધું વેપારમાં કરવું પડે છે. સુધરેલા બહારવટિયાની સામે...પ્રશ્નકર્તા : પણ અમારે તો જીવનમાં એવા અમુક પ્રસંગો આવે છે કે જ્યારે ખોટું બોલવું જ પડે ત્યારે શું કરવું ? દાદાશ્રી : એ તો હું તમને દેખાડી દઈશ. ક્યાં ખોટું બોલવું ને ક્યાં ખોટું ના બોલવું એ હું તમને દેખાડી દઈશ. કેટલીક જગ્યાએ ખોટું બોલવું સારું અને કેટલીક જગ્યાએ સાચું બોલવું તેય સારું. ભગવાનને તો ‘સંયમ છે કે નહીં’ તેટલી જ પડેલી છે. સંયમ એટલે કોઈ જીવને દુઃખ નથી દેતો ને ? ખોટું બોલીનેય દુઃખ ના દેવું જોઈએ. કેટલાક કાયદા કાયમના હોય છે ને કેટલાક કાયદા ટેમ્પરરી હોય છે. ટેમ્પરરીને લોક કાયમનું કરી નાખે છે ને મહામુશ્કેલી ઊભી થાય છે. ટેમ્પરરી એડજસ્ટેબલ, ઈટ એડજસ્ટ્સ, એ પ્રમાણે નિકાલ કરીને આગળ કામ કાઢી લેવાનું. કંઈ બેસી રહેવાય આખી રાત ? પ્રશ્નકર્તા : તો વ્યવહાર કેવી રીતે કરવો ? દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જ્યાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, ‘દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.’ હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરના હોય ને ત્રણ લાખ લોકોના હોય તો એ લોકો ધક્કા ખાય તેય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, ‘ભઈ, મને (પા.૧૨૧)નફો રહ્યો નથી,’ એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈનેય આપણો ચેક લઈ લેવો. હવે ત્યાં મારાથી આવી લાંચ કેમ અપાય ?’ એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી લો. લાંચ આપવામાં ગુનો નથી. આ જે ટાઈમ જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને ‘એડજસ્ટ’ કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલાક પૂછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે, અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું, પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલા ગાળો દેતા હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે ! પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, ‘ભાઈ, આપી આવ રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.’ નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપી દેવી. એને હું ગુનો નથી કહેતો. ગુનો તો પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા એને ગુનો કહું છું. બહારવટિયો રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યને ખાતર નહીં આપવાના ? પ્રશ્નકર્તા : આપી દેવા પડે. દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને કેમ અહીં નથી આપતા ?! આ બહારવટિયા સેકંડ પ્રકારના છે. તમને નથી લાગતું કે આ સેકંડ પ્રકારના બહારવટિયા છે ! પ્રશ્નકર્તા : પેલા પિસ્તોલ બતાવી લે છે ને ? દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આ યે ભડક તો ઘાલે છે ને કે ‘ચેક તને મહિના સુધી નહીં આપું !’ છતાં ગાળો ખાતાં સુધી (પા.૧૨૨)આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી એના કરતાં ગાળો ખાતાં પહેલાં પથ્થર નીચેથી હાથ કાઢી લો’ એમ કહ્યું છે. ભગવાને કહ્યું કે પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી. તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ? પ્રશ્નકર્તા : બિલકુલ બરાબર છે. દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? બધા સત્યનાં પૂંછડાં પકડે. અલ્યા ન હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે. સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈને હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો’ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ. આ બાજુ માંગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે. ‘તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.’ નહીં તો શેઠને કહી દે ને ! પણ હવે શેઠને કહેવાની આપણામાં હિંમત નથી. એ કહે છે, ‘ના, શેઠને કહું તો મારો ધંધો ના ચાલવા દે.’ ત્યારે આમેય લાલચુ, ત્યારે આપી દે ને, અહીંથી. મેલ પૂળો અહીંથી ! આવી રીતે ન્યાય કરવામાં કંઈ હરકત ખરી ? ભગવાને ય આને ગુનેગાર ના ગણે. બહારવટિયા મળે ત્યારે એને પૈસા આપી દેવા એ ગુનો છે ? એ કંઈ સત્ય છે ? મારા રૂપિયા હું આપી દઉં એ કંઈ સત્ય છે ? ત્યારે કેમ આપી દો છો ? પ્રશ્નકર્તા : બીકના માર્યા. દાદાશ્રી : ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટિયા ! આ સુધરેલા બહારવટિયા. પેલા સુધર્યા વગરના બહારવટિયા ! આ સિવિલાઇઝ્ડ બહારવટિયા, પેલા અનસિવિલાઇઝ્ડ બહારવટિયા !!! સિવિલાઇઝ્ડ બહારવટિયા તમે નહીં જોયેલા હોય ?! સિવિલાઇઝ્ડ બહારવટિયાના લાગમાંય આવેલા નહીં ? અમે સિવિલાઇઝ્ડ બહારવટિયા બહુ જોયેલા. પણ મારી વાત એ સમજવા જેવી છે, જો સમજો તો. અને આવું (પા.૧૨૩)કોઈ શીખવાડે નહીં. મારા જેવું કોઈ શીખવાડે નહી.ં બીજા તો કહેશે, નહીં આપવાનું, બહુ ત્યારે ત્યાં ઉપવાસ કર, સત્યાગ્રહ કર કહેશે, ‘અરે સાહેબ, હું મરી જાઉં. એ તો તમે કરી શકો.’ એટલે અનુભવની વાતો છે આ બધી, કે જેટલો ગુનો આમાં છે એથી વધારે ગુનો પેલા માગતાવાળાને ધક્કા ખવડાવ ખવડાવ કરવા તેમાં છે. સૂડી વચ્ચે સોપારી આવે ત્યાં શું કરવું આપણે ? કપાઈ જ જાય ને ?! સૂડી વચ્ચે સોપારી આવેલી રહે કે ? માટે કશું આવી તેવી ગણતરી ના ગણવી. અમારા ‘દાદા’ એ શીખવાડ્યું છે એમ કહી દેજો પ્રશ્નકર્તા : જવાબદારી ‘દાદા’ની બધી. દાદાશ્રી : હા, જવાબદારી મારી. પણ મારા કહ્યા પ્રમાણે હોય તો ! તમે પેલી ખોટ વધારે ખાશો, આ ઓછી ખોટ છે, એવું હું તમને કહું છું. ખોટ તો અવશ્ય છે. તમે લાંચ આપો એ ખોટ તો છે જ. પણ પેલી ખોટ, તો સો રૂપિયા જતા હોય તો આ પંદર રૂપિયામાં પતે છે. તે આપણા પંચ્ચાશી તો બચ્યા ! અને નહીં તો પછી ગધેકા પૂંછ પકડા સો પકડા, લાતો આટલી ખાધી, હવે છોડ. બધી જ ભૂમિકાઓમાંથી પસાર...પ્રશ્નકર્તા : તમારા પહેલાંના જીવનમાં તમને અમારા જેવી ભૂમિકા તો આવી જ હશે ને ? દાદાશ્રી : બધી જ જાતની ભૂમિકા આવેલી. દરેક ભૂમિકા જે તમને બધાને આવે છે એ ભૂમિકાઓ મને પ્રાપ્ત થયેલી. પ્રશ્નકર્તા : બધામાંથી પાસ થઈ ગયેલા ? દાદાશ્રી : હા, પાસ થઈ ગયેલા. પ્રશ્નકર્તા : તે તેના આ ઉછાળા માર્યા હશે ને ? દાદાશ્રી : આચાર ને ભૂમિકામાં ફેર છે. આચાર એ વખતે હો યા (પા.૧૨૪)ના હો, પણ ભૂમિકા બધી આવી ગયેલી. પ્રશ્નકર્તા : પણ એટલે આવું દેખાયેલું ને આમ ? દાદાશ્રી : બધું જ દેખાયેલું છે ને ! કશું દેખવામાં બાકી જ નથી રાખ્યું. તેથી સોલ્યુશન આપું છું ને ! ધંધો છતાં જ્ઞાનીપ્રશ્નકર્તા : આપશ્રી ભગવાન પ્રાપ્તિના માર્ગે વળી ગયા, સાથે આપ મોટા ધંધાથી પણ સંકળાયા છો. તો એ બન્ને શી રીતે સંભવે ? તે સમજાવો. દાદાશ્રી : સારો પ્રશ્ન છે કે હસવું ને લોટ ફાકવો, એ બે શી રીતે બને ? કહે છે, હા. આમ છે તે ધંધો કરો છો, અને આમ છે તે ભગવાનના માર્ગે છો. આ બે શી રીતે બન્યું ? પણ બની શકે એમ છે. બહારનું જુદું ચાલે એવું છે. અંદરનું જુદું ચાલે એવું છે. બે જુદા જ છે. આ નરેન્દ્રભાઈ છે ને, તે નરેન્દ્રભાઈ જુદા છે અને આત્મા જુદો છે, અંદર બે છૂટા પડી શકે એમ છે. બેના ગુણધર્મો ય જુદા છે. જેમ અહીં આગળ સોનું ને તાંબું બે ભેગાં થયાં હોય. તો ફરી છૂટા પાડવા હોય તો પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : પડે. દાદાશ્રી : એવી રીતે આને છૂટા જ્ઞાની પુરુષ પાડી શકે. જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, અને તમારે છૂટા પાડવા આવવું હોય તો આવજો અહીં અને લાભ જોઈતો હોય તો આવજો. અને ધંધો ચાલ્યા કરે. પણ ધંધામાં એક ક્ષણવાર છે તે અમારો ઉપયોગ ના હોય. ખાલી નામ હોય એ બાજુ. પણ અમારો ઉપયોગ એક ક્ષણવારેય ના હોય. મહિનામાં એકાદ દિવસ બે કલાક મારે વખતે જવું પડે. ને જઈએ, પણ તે અમારો ઉપયોગ ના હોય. ઉપયોગમાં ના હોય એટલે શું તે તમે સમજ્યા ? આ લોકો દાન લેવા જઈએ છીએ ને, તે કોઈ પાસે દાન લેવા ગયા હોય, આપણે કહીએ ને કે આ સ્કૂલને (પા.૧૨૫)માટે દાન આપો, તો પેલો એનું મન જુદું રાખે આપણાથી. રાખે ના રાખે ? પ્રશ્નકર્તા : રાખે. દાદાશ્રી : એવી રીતે આમાં બધું જુદું રહે. એમાં જુદા રાખવાના રસ્તા હોય છે બધા. આત્મા યે જુદો છે ને આ યે જુદો છે. વેપાર ડ્રામેટિકઅમારે ધંધા ઉપર બહુ પ્રીતિ નહીં, મૂળથી જ નહીં ! હું કંઈ પૈસા કમાવા નથી બેઠો, કે આ બધું કરવા નથી બેઠો. હું તો એ શોધખોળ કરવા આવ્યો છું, કે આ જગત શું છે ને કેવી રીતે ચાલે છે ? આ આમાં પોષાય નહીં મારે. મેં મારી શોધખોળ કરી નાખી બધી. ધંધામાં મેં ચિત્ત રાખ્યું નથી. ધંધામાં આખી જિંદગી ય ચિત્ત રાખ્યું નથી. ધંધો કર્યો છે ખરો. મહેનત કરી હશે. કામ કર્યું હશે. પણ ચિત્ત નથી રાખ્યું. પ્રશ્નકર્તા : તે એ ધંધો શી રીતે ચાલે ? દાદાશ્રી : આ નાટક થાય છે. તે આ નાટક કરે છે, તે વખતે પહેલું નાટક થાય છે કે પહેલું રિહર્સલ કરેલું હશે ? રિહર્સલ બધું થયેલું જ છે. રિહર્સલ થયેલું બધું આ ફરી થાય છે. એક ફેરો થઈ ગયેલું છે. તેની ઉપર સિક્કો મારવાનો છે. યોજના થઈ ત્યાંથી જ આપણે ના સમજીએ કે રૂપકમાં આવવાનું છે ? ગયા અવતારમાં યોજના ઘડાઈ ને તૈયાર થઈ ગયેલું. આ રૂપકમાં આવ્યું, અત્યારે યોજના ઘડાઈ છે, તે આવતા અવતારની. એ પાછું રૂપકમાં આવશે. વેપારમાં વહ્યા ભવો...આ તો ટાયરની દુકાન કાઢે છે, ત્યારે એમ જ જાણે છે, બસ, ટાયર વગર તો દુનિયામાં ચાલે એવું નથી, એટલે દરેક અવતારમાં દુકાનો માંડેલી હોય છે. વેપાર, વેપાર ને વેપાર. પોતાના સ્વરૂપ ભણી દ્રષ્ટિ જ ગઈ નથી. પોતે કોણ, તેની દ્રષ્ટિ કરી નથી. (પા.૧૨૬)વનવાસ, વેપારમાં...પ્રશ્નકર્તા : હમણાં તો વનવાસ ચાલે છે. દાદાશ્રી : આવડા મોટા શહેરમાં રહો છો ને પછી વનવાસ કહો છો એનું કારણ તો કંઈક હશે ને ? સાસુ બહુ પજવે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : હા, કેટલીક જગ્યાએ સાસુઓ એવી હોય છે તે વહુને ને આપણને ભેગા જ ના થવા દે એટલે વનવાસ થઈ જાય છે પછી ? સાસુ તમારી સારી છે ને ? પછી આ વનવાસ શાથી ? એ મને કહો ને ! પ્રશ્નકર્તા : કામધંધા બાબતમાં. દાદાશ્રી : ઓહોહો ! ધંધો બરોબર મળતો નથી, નહીં ? ભાવ ઓછો હશે તોય નથી મળતો ? ચિંતાથી ધંધાનું મોતપ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઊતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરા બધા જ પાર્ટનર્સ છે ને ? પ્રશ્નકર્તા : સુખદુઃખના ભોગવટામાં ખરાં. દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો. (પા.૧૨૭)પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી ? દાદાશ્રી : જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુદ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરૂર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય. પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તે નોર્માલિટીની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજો. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મ્યાકાર થઈને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય. એ બહુ નુકસાન કરે. પ્રશ્નકર્તા : પણ ધંધાની જવાબદારીઓ હોય તેનું શું ? દાદાશ્રી : ધંધાની જવાબદારી છે, તો સંડાસ નહીં જતા હોય ને ? પ્રશ્નકર્તા : એ તો નિત્યકર્મ છે. શરીર ધર્મ તો બજાવવા જ પડે ને ! દાદાશ્રી : તો આયે નિત્યકર્મ છે. જેમ ઊંઘવું એ નિત્યકર્મ છે તેમ આયે નિત્યકર્મ છે બધાં. આ નિત્યકર્મને ઠેલી અને મહીં અજંપો કર્યા કરે છે. અને તેથી આવતા અવતાર બગડી જાય બધા. કોણ કોને નથી છોડતું !તો આ ધંધો કરે તો જ ગાડું ચાલે એવું છે કે નહીં તો નહીં ચાલે એવું છે ! પ્રશ્નકર્તા : ના પણ... દાદાશ્રી : બે વર્ષ અટકી જાય તો ચાલે ! બંધ થઈ જાય ખાવાનું ? પ્રશ્નકર્તા : ના, ના. એવું તો નથી. એવો વાંધો ના આવે. દાદાશ્રી : તો પછી શા હારુ બધું કરો ? ધંધો તમને છોડતો નથી કે તમે ધંધાને છોડતા નથી ! પ્રશ્નકર્તા : અમે ધંધાને છોડતા નથી. (પા.૧૨૮)દાદાશ્રી : તો સારું (!) એટલે પ્રેમ જોઈએને, પ્રેમ વગર સોદા નકામા. પ્રેમ વગરના બધા સોદા નકામા છે. કેટલા ભેગા થયા ?મનને તૃપ્તિ થાય એટલા પચાસેક લાખ ભેગા થઈ ગયા ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આખી જિંદગી શું કર કર કર્યું તોય પચાસ લાખ ભેગા થયા નહીં ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અરે એવું બોલો છો ? વખતે બે-પાંચ લાખ ઓછા હશે. બીજું શું ? પ્રશ્નકર્તા : ના રે ના. એને પુરુષાર્થ કહેવાય ?દાદાશ્રી : તમે શો પુરુષાર્થ કરો છો ? પ્રશ્નકર્તા : ધંધાનો. દાદાશ્રી : એ તો પુરુષાર્થ ના કહેવાય. જો પોતે જ પુરુષાર્થ કરતો હોય તો નફો જ લાવે, પણ આ તો ખોટ પણ જાય છે ને ? એ પુરુષાર્થ ના કહેવાય. એ તો દોરી વીંટેલી તે ઊતરે, એને પુરુષાર્થ કેમ કહેવાય ? તમે પુરુષાર્થ કરો છો તો ખોટ કેમ ખાઓ છો ? પ્રશ્નકર્તા : એ તો એવુંય થઈ જાય. ક્યારેક નુકસાન પણ થાય. દાદાશ્રી : ના, પુરુષાર્થ કરનારાને તો ક્યારેય ખોટ ના જાય. નફો-ખોટ કોણ કરે ?હા, પણ તમે કોઈ દહાડો કમાયેલા ખરા ? તમે જાતે કમાયેલા ખરા કોઈ દહાડોય ? (પા.૧૨૯)પ્રશ્નકર્તા : જાતે જ કમાયા આમ તો. દાદાશ્રી : એમ ? ત્યારે ખોટ જાતે ખાતા હશે લોકો ? ખોટ ખાય છે એ જાતે ખાતા હશે. પ્રશ્નકર્તા : જાતે જ જાય. ખોટ જાય તે જાતે. દાદાશ્રી : પણ ખોટ જાતે ખાતા હશે કે ? પ્રશ્નકર્તા : હા. જેમ જાતે કમાઈએ એમ ખોટેય જાતે જ કરીએ ને ? દાદાશ્રી : બહુ સારું ! પણ ખોટ ગમતી નથી. પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી ખોટ જાતે કરે છે એ કેવી રીતે કહેવાય ? ખોટમાં દુકાન કે આપણે ?મનમાં નક્કી કરે કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન નથી કરવું, પણ દુકાન ખોટમાં જ જાય છે એટલે તો કરવું પડે ને, શું કરે ? અલ્યા, દુકાન ખોટમાં જાય છે, તું કંઈ ખોટમાં જઉં છું તે ? એ ખોટમાં તો દુકાન જાય છે. દુકાનનો સ્વભાવ જ એવો છે કે ખોટમાંય લઈ જાય અને પછી નફામાંય લાવે. એટલે એ ખોટ ને નફો દેખાડ્યા કરે ! વારેઘડીએ બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ. વ્હાઈટ ગયું ને બ્લેક આવે. બ્લેક ગયું ને વ્હાઈટ આવે. એનો સ્વભાવ એ છે, એમાં તું શું કામ માથે લઈ લે છે. અને તમારું શું ઠેકાણું ? કાલે સવારે નીકળ્યા તો ઘડીમાં ફ્રેક્ચર થઈ જશે, શું ઠેકાણું છે ? એવા જગતમાં તમે દુકાનની શું કામ પહેલી કાંણ કરો છો ? તમારી કાંણ પહેલી કરો ને ! જો કાણ કરવી હોય તો તમારી પહેલી કરો. દુકાનની શું કામ કરો છો ? દુકાન તો બિચારી પાઘડી હઉ આપશે અને તમારી તો કોઈ બાપોય પાઘડી બંધાવનારો નથી. (પા.૧૩૦)ધંધાના કાનમાં ફૂંકઅમે ધંધો કરતાં પહેલાં શું કરીએ ? સ્ટીમર ચાલવા મૂકી હોય, ત્યાં પૂજાઓ બધી ભણાવી દઈએ, મહારાજની પાસે, સત્યનારાયણની કથા, બીજી પૂજાઓ બધું કરીએ. વખતે સ્ટીમરનીયે પૂજા કરીએ, પછી અમે સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે, ‘તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી ! અમારી ઇચ્છા નથી !! અમારી ઇચ્છા નથી !!!’ એવું ના કહીએ એટલે પછી નિઃસ્પૃહ થઈ ગયા કહેવાય, તો પછી ે તો ડૂબી જાય. અમારી ઇચ્છા નથી કહ્યું એટલે એની પાછળ બળ કામ કરે છે. અને જો ડૂબી તો આપણે જાણીએ જ ને કે કહ્યું જ હતું ને કાનમાં ! આપણે ક્યાં નહોતું કહ્યું ? એટલે એડજસ્ટમેન્ટ ગોઠવીએ તો પાર આવે એવો છે આ જગતમાં. મનનો સ્વભાવ એવો કે એનું ધાર્યું ના થાય, એટલે નિરાશ થઈ જાય. એટલા માટે આ બધા રસ્તા કરવાના. પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે ‘એડજસ્ટમેન્ટ’ લઈ લઈએ છીએ કે છ મહિના તો ચાલ્યું. વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુદ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય. ઘરાકની સાથે...પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરોબર છે ને ? દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઈમે ખોલવી. લોકો સાત વાગે ખોલતા હોય ને આપણે સાડાનવ વાગે ખોલીએ તો ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણેય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઈ જાય ત્યારે તમેય સૂઈ જાઓ. રાત્રે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરો એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધું છે. (પા.૧૩૧)પ્રશ્નકર્તા : દાદા, હમણાં દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું ? દાદાશ્રી : આ ‘ઈલેક્ટ્રિસિટી’ જાય,એટલે તમે ‘ઈલેક્ટ્રિસિટી’ ક્યારે આવે, ક્યારે આવે એમ કરો તો જલ્દી આવે ? ત્યાં તમે શું કરો છો ? પ્રશ્નકર્તા : એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઈએ. દાદાશ્રી : સો વાર ફોન ના કરો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ લાઈટ ગઈ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને ? પ્રશ્નકર્તા : એટલે આપણે નિઃસ્પૃહ થવું ? દાદાશ્રી : નિઃસ્પૃહ થવું તેય ગુનો છે ને સસ્પૃહ થવું તેય ગુનો છે. લાઈટ આવે તો સારું એટલું આપણે રાખવું, પછી ઉધામા ના રાખવા. ‘રેગ્યુલારિટી’ અને ભાવ ના બગાડવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવો નહીં, એય માણસજાત છે. એને બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈ ને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ રાખો ને ! આ તો ઘરાક આવે તો શાંતિથી, પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, ‘આજે ખર્ચો માથે પડશે, આટલી નુકસાની ગઈ’ એ ચક્કર ચલાવે. જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો છો ? ના, ત્યાં તો દબાઈ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભાં થાય. આ વેરથી જ જગત (પા.૧૩૨)ઊભું છે, એ જ મૂળ કારણ છે. છૂટો વેરથીઆ ઘરાક અને વેપાર વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ? ના થાય. ઘરાક તો યાદ કરે કે ‘આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો’ લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે ‘કોઈ પણ રસ્તે વેર છોડો’. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.’ આ પૈસા જતા કરીને ય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે. એમાંય સત્ય, હિત, મિત ને પ્રિયઆપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ ‘ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.’ ત્યારે કોઈ કહેશે કે, ‘આવું સાચું કઈ દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?’ અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ જ હિસાબથી ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ?! ઘણા માણસ એવા સવારે પાછા ઊઠેલા નહીં ! એ કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં. એમાં હાયવોય શાને ?માણસે કમાણીની બહુ ઉતાવળ ના કરવી. કમાણી કરવામાં આળસ (પા.૧૩૩)રાખવી જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ. કારણ કે કમાણીની બહુ ઉતાવળ કરીએ તો ૧૯૮૮ માં આપણી પાસે જે નાણું આવવાનું હોય તે અત્યારે આવી જાય, ઉદ્દીરણા થાય, પછી ૧૯૮૮માં શું કરીએ આપણે ? એટલે નાણું બહુ કમાવાની ખટપટ કરવી નહીં. આપણે ધંધો નિશ્ચિતભાવે શાંત રૂપે કર્યા કરવો. આ કાળમાં જેટલી નીતિમત્તા સચવાય એટલું ભાવથી કર્યા કરવું. હાયવોય તો કોણ કરે ? કે જેને અનાજ કે કંઈ ખૂટી પડતું હોય તે હાયવોય કરે. એવું અનાજ ખૂટી પડે, એવો દહાડો તો તમને નથી આવવાનો ને ? કપડાં ખૂટી પડે એવા દહાડા આવે છે ? કમાણી હોય ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ? ને ખર્ચો આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાનો સંજોગ મળ્યો. કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ ફેડવાનું સાધન છે. નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે ‘હાશ’ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ ‘હાશ’ કરવા જેવું નથી. કારણ કે ટેમ્પરરી છે ! લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી, પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે જેથી અશાતાવેદનીયમાં હાલી ના જવાય. એ સમજણે ચિંતા ગઈ...ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયાં બેસી જાય તો ધંધો બેસી જાય. પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે. ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા નાયે કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉ. અને બધાં બૈરાંછોકરાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતાં જ નથી. હવે એ બધાં નથી જાણતાં તોય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધુંય ! એટલે પછી મારી અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં, તોય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું. (પા.૧૩૪)તે પછી મારામાં અક્કલ આવી ગઈ એટલે ચિંતા કરું નહીં. અરે, એ લોકો ચિંતા ના કરે તો મારે ચિંતા કરવાની શી જરૂર ? મારે તો મારી ફરજ બજાવવાની; ચિંતા-બિંતા કરવાની નહીં. એ નફો-નુકસાન એ બધું કારખાનાનું હોય છે. આપણે માથે નથી. આપણે તો ફરજ બજાવાના અધિકારી. બધું કારખાનાનું હોય છે. કારખાનું માથે લઈને ફરીએ છીએ તો રાત્રે ઊંઘ કેટલી બધી આવે ? પ્રશ્નકર્તા : ઊંઘ ના આવે. દાદાશ્રી : ઊંઘ ના આવે ને ? એ તો સારું છે તમારે વકીલાત છે. નહીં તો તમને કારખાનામાં બેસાડ્યા હોય ને તો શું થાય ? તે પોતે ઊંડો ઊતરે ને, તો છોકરો ચિંતા કરતો હોય, પાછો આ બાપેય ચિંતા કરતો હોય. છોકરો એના કારખાને ચિંતા કરતો હોય. પણ બાપા ઊતર્યા એટલે બાપા જાણે કે આવું આટલું જવા માંડ્યું. તે પછી બધાં ચિંતા કરે એટલે ખોટ જતી રહે, નહીં ? ચિંતાથી જ આ બધી ખોટો જાય છે. ચિંતા કરવાનો અધિકાર નથી. વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ. એ એબોવ નોર્મલ વિચાર ગણાય છે, એ ચિંતા કહેવાય છે. એબોવ નોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે અમે વિચાર તો કરીએ, પણ જે એબોવ નોર્મલ થયું ને ગૂંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ. પ્રશ્નકર્તા : સામાન્ય રીતે મહીં જોતા રહ્યા ત્યાં સુધી વિચાર કહેવાય અને જો મહીં ચિંતા થઈ તો લપેટાયો કહેવાય ? દાદાશ્રી : ચિંતા થઈ એટલે લપેટાયો જ ને ! ચિંતા થઈ એટલે એ જાણે કે મારે લીધે જ ચાલે છે, એવું માની બેઠા છે. ચિંતા એટલે શું કે મારે લીધે જ ચાલે છે આ બધું. એટલે એ બધી ભાંજગડ જ લેવા જેવી નથી. અને છે ય એવું જ. આ તો બધા મનુષ્યોમાં આવો રોગ પેસી ગયો છે. હવે નીકળે શી રીતે જલદી ? જલદીથી નીકળે નહીં ને ! ટેવ પડેલી છે એ જાય નહીં ને ! હેબિચ્યુએટેડ. પ્રશ્નકર્તા : આપની પાસે આવે તો નીકળી જાય ને ! (પા.૧૩૫)દાદાશ્રી : હા, નીકળી જાય, પણ ધીમે ધીમે નીકળે પણ એકદમ ના જાય ને પાછી ! ખોટ ધારીને, ધંધો ધમધમાવોદાદાશ્રી : કંટ્રાક્ટના ધંધામાં નફો ખોળો છો કે ખોટ ? પ્રશ્નકર્તા : નફો જ ! દાદાશ્રી : એક પક્ષમાં જ પડ્યા છો ? જે ખૂણામાં લોક પડ્યા છે, તે ખૂણામાં તમે પડ્યા છો ? તમારે લોકની વિરુદ્ધ ચાલવું. લોક નફો કહે ખોળે તો આપણે કહીએ ખોટ હોજો અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા ના આવે. નફો ખોળનાર કાયમ ચિંતામાં જ હોય અને ખોટ ખોળનારને કોઈ દહાડો ચિંતા જ ના આવે તેની અમે ગેરન્ટી આપીએ છીએ. વાત અમારી સમજાય ?! ધંધો રાખ્યો ત્યારથી આપણા લોક શું કહે ? આ કામમાં ચોવીસેક હજાર તો મળે એવા છે !! હવે જ્યારે ફોરકાસ્ટ કરે છે (આગાહી કરે છે) ત્યારે સંજોગ બદલાશે તેને બાદ કરતો નથી. એમ ને એમ ફોરકાસ્ટ (આગાહી) કરે છે. પેલું ઓટોમેટિક રીતે એસ્ટિમેટમાં પરસેન્ટેજ (ટકા ગણીને) કાઢીને, બધું કાઢીને ફોરકાસ્ટ કરે છે, તે ઘડીએ સંજોગોને બાદ કરતો નથી ને કહે છે, ચાલીસ હજાર મળવાના છે. પછી ત્રણ મહિના પછી સંજોગ બદલાયા અને સાહેબ કડક આવ્યો તો દસ ટકા જે છૂટછાટ રાખતા હતા, મટીરિયલ્સમાં, તે બંધ થઈ ગઈ ! એને જે જૂની કરેલી એને તોડફોડ કરાવડાવી, એમાં છે તે ચાલીસ હજાર ધાર્યા હતા તે ત્રીસ હજાર એમાં જતા રહ્યા. દસ હજાર રહ્યા. પછી આગળ બિલ આપતી વખતે માર તોફાન માંડ્યાં. તેમાં ભાવ કાપી નાખ્યો. પૈસા કપાઈ ગયા એટલે પછી શું કહે ? આમ તો નો પ્રોફિટ, નો લોસ છે ખરી રીતે, રિયલી સ્પીકિંગ, અને કહે શું કે, ‘ચાલીસ હજારની ખોટ આવી’ કહેશે. કારણ કે નફો એણે બાંધ્યો હતો ને પહેલેથી ! તે અમેય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે, અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં (પા.૧૩૬)આગળ, ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્સનું નીકળશે, ને આપણો ખોરાક ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !! જો રીત જ ગાંડી છે ને. જીવન જીવવાની રીત ગાંડી છે ને ?! અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકુંય સુખિયો નહીં. પછી ખોટ જ નહીં આવવાની જિંદગીમાંય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?! એ ગણતરીઓ આમ થાય...બધાય નફાની આશા રાખે છે. એકુંય માણસ ખોટની આશા રાખતો જ નથી. એક સાલ તો ખોટની આશા રાખીને ચાલ ! ખોટ જાય તો સમજજે કે આશા ફળી ! અમે તો ખોટની આશા રાખીએ. બધા જેવું ના રાખીએ. ઘરમાં દસ માણસો હોય, તે ધંધામાં પચાસ હજાર નફો થયો, તો બધા કહેશે પચાસ હજાર નફો થયો. તે બધો ભેગો કરીએ તો કેટલો નફો થયો કહેવાય ? પ્રશ્નકર્તા : પાંચ લાખ થઈ જાય. દાદાશ્રી : અને પચીસ હજાર ખોટ ગઈ, કહો ને, એટલી મહીં ઉપાધિ થાય, નફાનો આનંદ બહુ ના થાય. ખોટની ઉપાધિ વધારે થાય. એટલે ખોટ વહેંચીને લેવી જોઈએ. હા, કે ભઈ, એમને ભાગે અઢી હજાર, મારે ભાગે અઢી હજાર. પ્રશ્નકર્તા : એટલે નફો મલ્પીપ્લાય (ગુણાકાર) કરવો અને ખોટ વહેંચી લેવી ? દાદાશ્રી : ના, મલ્ટીપ્લાય કશું ના કરવું. નફામાં કંઈ આનંદ હોતો (પા.૧૩૭)જ નથી ખરેખર. ઘેર બધાંની તબિયત સારી હોય તો જાણવું કે નફો છે. તે દહાડો ચોપડામાં ખોટ હોય તોય તે નફો જ છે ! દુકાનની તબિયત બગડે કે ના બગડે, ઘરનાની ના બગડવી જોઈએ. રાત્રેય ખોટ જાય ને ?ધંધાના બે છોકરા, એકનું નામ ખોટ અને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ય ગમે નહીં, પણ બે હોય જ. એ તો એ બે જન્મેલાં જ હોય. ધંધામાં ખોટ જતી હોય તો તે રાતે જાય કે દહાડે જાય ? પ્રશ્નકર્તા : રાતેય જાય ને દહાડેય જાય. દાદાશ્રી : પણ ખોટ જતી હોય તો તો દહાડે જવી જોઈએ ને ? રાતેય જો ખોટ જતી હોય તો રાતે તો આપણે જાગતા નથી તો રાતે શી રીતે ખોટ જાય ? એટલે ખોટના ને નફાના કર્તા આપણે નથી, નહીં તો રાતે ખોટ શી રીતે જાય ? અને રાતે નફો શી રીતે મળે ? હવે એવું નથી બનતું કે મહેનત કરે છે તોય ખોટ જાય છે ? પ્રશ્નકર્તા : હા, એવું બને છે. દાદાશ્રી : તો મહેનત કરવાથી નફો થાય કે મહેનત કરવાથી ખોટ જાય એનું ડિસિઝન શું ? પ્રશ્નકર્તા : નફો ને ખોટ એ એના હાથની વાત નથી. એ તો ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. દાદાશ્રી : હા, બધું ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. એટલે ‘વ્યવસ્થિત’ મહીં પ્રેરણા કરે ને, એ રીતે આપણે કરવું. બીજું મહીં ડહાપણ વધારે વાપરવું નહીં. બુદ્ધિથી માપવા જઈએ કે નફો મળશે કે ખોટ તો એ માપ જડે ખરું ? પ્રશ્નકર્તા : ના જડે. દાદાશ્રી : એક માણસને કશુંક દર્દ થયું હોય અને દર્દને બુદ્ધિથી (પા.૧૩૮)માપવા જઈએ તો શું થાય ? એને એમ જ થઈ જાય કે હવે મરી જ જવાના, અને દર્દ ના થયું હોય તેને બુદ્ધિથી માપે નહીં. તોય એ બિચારો એમ ને એમ સણકારો મારે ને મરી જાય. એવું બને કે ના બને. એટલે આ બધું ખોટ કે નફો કશું જોવાનું નથી. જોવાનું હવે શું છે ? આ નફો ને ખોટ તો બધું કરીને જ આવેલા છો. હવે એમાં તો ફક્ત નિમિત્ત તરીકે, મહીંથી જે પ્રમાણે પ્રેરણા કરે એ રીતે આપણે ચાલ્યા કરવાનું. ‘વ્યવસ્થિત’ ને ઓળંગવું નહીં. મહીં પ્રેરણા થઈ તેમ આપણે કરવાનું ખોટ માટેય વ્યવસ્થિત પ્રેરણા કરે છે અને નફા માટેય પ્રેરણા વ્યવસ્થિત જ કરે છે. એટલે આપણે પ્રેરણા પ્રમાણે જ ચાલવું. કારણ કે નફો ખોટ એ બધું ‘વ્યવસ્થિત’ના તાબામાં છે, તો પછી હવે કરવાનું શું ? નવરાશનો ટાઈમ પેલામાં બગાડશો નહીં, આ સત્સંગમાં ટાઈમ બગાડો. કારણ કે પેલું બધું તમારા હાથમાં સત્તા જ નથી. આ ધંધાદારી માણસ રાતે કમાતા હશે કે નહીં કમાતા હોય ? રાતે સૂઈ ગયા હોય તોય કમાય ? પ્રશ્નકર્તા : કમાણી ને ખોટ તો ચાલુ જ રહે છે ને ? દાદાશ્રી : ચાલુ જ રહે છે ? તમે નવસારીથી અહીં આવ્યા તોય ત્યાં કમાણી ચાલુ જ રહેવાની ? ભારે અજાયબી છે ને ? દહાડે જમવા બેસીએ તોય કમાણી ચાલુ હોય ને ? અને ખોટવાળાને ખોટ ચાલુ હોય ને ? કેટલી અજાયબી છે ! આ બધા ચોપડાનું તારણ કાઢતાં આવડે છે, પણ આ જગતનું તારણ કાઢતાં આવડે તો શું નીકળે ? અમને જગતનું તારણ કાઢતાં આવડેલું ! આ જ્ઞાન થતાં પહેલાં અમે તારણ કાઢેલું કે આ જગતનું સરવૈયું શું ? એટલે આપણે શા માટે આ માથાફોડ કરવાની ? જેને માટે મહેનત કરે છે એ તો બધો તૈયાર જ માલ છે, નહીં તો લાખ મણ મહેનત કરો તોય તે કામની નથી, ઊલટી ખોટ જાય છે. કોના હાથમાં સત્તા છે, એનું સરવૈયું કાઢો ! તમે સરવૈયું કાઢેલું કે ? પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી માલૂમ પડે. દાદાશ્રી : હા, પહેલાં તો ખબર જ ના પડે ને ? ગૂંચાયેલું બધું; (પા.૧૩૯)આખા ચોપડા જ ગૂંચાયેલા. આમાં કોઈ માણસથી આ સરવૈયું નીકળે એવું નથી. પ્રશ્નકર્તા : આ આપ જે કહો એ બધી વાતો પહેલાં સાંભળેલી જ નહીં. દાદાશ્રી : સાંભળેલી જ નહીં ને ! ક્યાંય આવી વાતો ના હોય. આ બધી વાતો અપૂર્વ છે, પૂર્વે સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય. આ તદ્દન નવી જ ઢબ છે ! અને તો જ ઉકેલ આવે ને, નહીં તો ઉકેલ કેમ આવે ? પડતીની વેળાએ...આપણે મહેનત કરીએ, ચોગરદમનું જો જો કરીએ છતાંય કશું મળે નહીં, તો આપણે સમજી જવું કે આપણા સંજોગ પાંસરા નથી. હવે ત્યાં વધારે જોર કરીએ તો ઉલટી ખોટ જાય, એનાં કરતાં આપણે આત્માનું કંઈ કરી લેવું. ગયા અવતારે આ ના કર્યું તેની તો આ ભાંજગડ થઈ. આપણું જ્ઞાન આપેલું હોય તેની તો વાત જ જુદી છે, પણ આપણું જ્ઞાન ના મળેલું હોય, તોય તે તો ભગવાનને ભરોસે મૂકી દે છે ને ! એને શું કરવું પડે ? ‘ભગવાન જે કરે એ ખરું’ કહે છે ને ? અને બુદ્ધિથી માપવા જાય તો કોઈ દહાડોય તાળો જડે એવો નથી ? જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે. ત્યારે તો ભક્તિ કરવી જોઈએ. સંજોગ સારા ના હોય ત્યારે શું કરવું જોઈએ ? આત્માનું, પોતાના આત્માનું, સત્સંગ, બધું આખો દહાડો એ જ કર્યા કરીએ. શાક ના હોય તો ના લાવીએ, ખીચડી જેટલું તો થાય ને ! આ તો યોગ હોય તો કમાય, નહીં તો નફાબજારમાં ખોટ ખાય ને યોગ હોય તો ખોટ બજારમાં નફો કરે, યોગની વાત છે બધી. નફો ખોટ કશુંય કાબૂની વાત નથી, માટે નેચરલ એડજસ્ટમેન્ટના આધારે ચાલો. દસ લાખ કમાયા પછી એકદમ પાંચ લાખની ખોટ આવે તો ? આ તો લાખની ખોટ જ ના ખમી શકે ને ! અને આખો દહાડો રડારોળ, ચિંતા, વરીઝ કરી મૂકે ! અરે, ગાંડોય થઈ જાય ! એવા ગાંડા (પા.૧૪૦)થઈ ગયેલા અત્યાર સુધી મેં કેટલાય એવા જોયેલા છે ! રાત્રે બાર એક વાગ્યે, બે વાગ્યે પુરુષાર્થ હઉ કરવાનો ? પ્રશ્નકર્તા : તો તો માણસ મેન્ટલ થઈ જાય. દાદાશ્રી : આ મેન્ટલ તો થઈ જ ગયેલા છે, વળી પાછા હજુ મેન્ટલ ક્યાં થવાના છે ?! આખું જગત મેન્ટલ હોસ્પિટલ જ થઈ ગયેલું છે ને ! એટલે હવે ફરી મેન્ટલ નહીં થવાનું, કારણ કે ડબલ મેન્ટલ તો હોય ? એટલે નફો ખોટ એ બધું આપણા હાથની વાત નથી. આપણે તો આપણું કામ કરો, અને આપણી ફરજો જે હોય એટલી બજાવવાની. નોર્માલિટી, ધંધાના સમયનીપ્રશ્નકર્તા : કામ કરવાનો કંઈ નોર્મલ ટાઈમ હોવો જોઈએ ને ? દાદાશ્રી : હા, હોવું જોઈએ. પ્રશ્નકર્તા : કામ કર્યે જવાનું, એમાં કંઈ આઠ કલાક કે દસ કલાક રાખવાના, પછી પંદર-વીસ કલાક ના રાખવા જોઈએ. દાદાશ્રી : એનો નિયમ હોવો જોઈએ. પ્રશ્નકર્તા : નોકરીવાળાને તો નિયમ હોય. પણ વેપારવાળાને તો જાણે નિયમ જ ના હોય. દાદાશ્રી : વેપારવાળો અનિયમ કરે, તો રાતે બે વાગ્યેય એને દુકાન ઉઘાડી રાખવાનું કોણ ના પાડે છે ? આનો કંઈ પાર આવવાનો છે ? બે સિગારેટનાં પાકીટ માટે અલ્યા, આખી રાત કાઢવાની ?! જ્યાં બધા દુકાન આઠ વાગે ઉઘાડતા હોય, ત્યાં આપણે સાડા છ વાગ્યાના ઉઘાડીને બેસીએ એમાં કશો અર્થ નથી, મહેનત બધી અનર્થ છે અને આઠ વાગ્યા પછી ઉઘાડવું એય ગુનો છે. બપોરે બધા બંધ કરે તે ટાઈમે બંધ કરી દેવાનું. પ્રશ્નકર્તા : બધા કારખાનાવાળાઓ ત્રણ-ત્રણ શિફ્ટ તો ચલાવતા (પા.૧૪૧)હોય, તે દેખાદેખીમાં બીજા પણ કહે કે હું પણ કેમ કરીને ત્રણ શિફ્ટ ચલાવું. દાદાશ્રી : હા, પણ તો તો ત્રણ નહીં, પાંચ કરી જુઓને ?! એવું છે, આ નેચરે પણ આપણા શરીરની દરેક વસ્તુ જોઈએ એવી ગોઠવી છે. આ બે કાન એમાં એક ઓચિંતો બંધ થઈ ગયો તો શું થાય ? પણ ગાડી ચાલુ રહે ને ? બે આંખો, એમાં એક બંધ થઈ ગયો હોય તો શું થાય ? આવી કેટલીક વસ્તુઓ બધી બે બે રાખી છે ને ? એવું આય બહુ ત્યારે બે શિફ્ટ ચલાવાય. બાકી એનો પાર જ ના આવે ને ! પ્રશ્નકર્તા : આ જંજાળને જેટલું બને તેટલી નોર્મલ રાખવી જોઈએ. દાદાશ્રી : એવું છે ને, ખાતી-પીતી વખતે ચિત્ત કારખાને ના જતું હોય તો કારખાનું બરોબર છે, પણ ખાતી-પીતી વખતે ચિત્ત કારખાને જતું રહેતું હોય તો એ કારખાનાને શું કરવાનું ? આપણને હાર્ટફેઈલનો ધંધો કરાવડાવે એ કારખાનું, એ આપણું કામ નહીં. એટલે નોર્માલિટી સમજાવી જોઈએ. હવે ત્રણ શિફ્ટ ચલાવડાવે, તેમાં આ નવો પૈણેલો છે, તેને વહુને મળવાનો વખત ના મળે તો શું થાય ? એ ત્રણ શિફ્ટ બરોબર છે ? નવી વહુ પૈણીને આવ્યો હોય એટલે વહુના મનનું તો સમાધાન રાખવું જોઈએ ને ? ઘેર જાય એટલે વહુ કહે કે, ‘તમે તો મને મળતા ય નથી. વાતચીતેય કરતા નથી !’ તો આ વાજબી ના કહેવાય ને ? જગતમાં વાજબી દેખાય એવું હોવું જોઈએ. ઘરમાં ફાધર જોડે કે બીજા જોડે ધંધાની બાબતમાં મતભેદ ના પડે એટલા હારુ તમારેય કહેવું, હા એ હા, કે ‘ચલતી હૈ તો ચલને દે.’ પણ આપણે બધાંએ ભેગા થઈને નક્કી કરવું જોઈએ કે પંદર લાખ ભેગા કર્યા પછી આપણે વધારે જોઈતું નથી, ઘરના બધા મેમ્બરોની પાર્લામેન્ટ ભરીને નક્કી કરવું જોઈએ. પ્રશ્નકર્તા : એમાં કોઈ ‘એગ્રી’ ના થાય, દાદા. દાદાશ્રી : તો પછી એ કામનું નહીં - બધાંએ નક્કી કરવું જોઈએ. આપણે ચાર શિફ્ટ ચલાવીએ, બસ્સો વર્ષનું આયુષ્યનું એક્સટેન્શન (પા.૧૪૨)લાવશે એ ? પ્રશ્નકર્તા : એ બની શકે જ નહીં ને ? દાદાશ્રી : તો આ બધું ધ્યાનમાં રહેવું જોઈએ, અને કમાયા પછી ફરી ખોટ ના જવાની હોય તો કમાયેલું કામનું. આ તો પાછી ખોટ જવાની, જોખમદારી ઊભી રહી પાછી ! ખોટ જાય કે ના જાય ? પ્રશ્નકર્તા : જાય. દાદાશ્રી : તે ઘડીએ શું બધાંએ ભેગા થઈ ને રડવા બેસવું ? આખો દહાડો કઢાપો અજંપો, ના જાણે ક્યાં જવું છે ! શેના હારુ કરે છે ? જાણે હજાર બે હજાર (વર્ષનું) આયુષ્યનું એક્સટેન્શન ના કાઢી લાવ્યો હોય !!! ત્યાં એક્સટેન્શન કરી આપે છે ને ? પ્રશ્નકર્તા : કોઈ ના કરી આપે. દાદાશ્રી : તો પછી શા હારુ ? શેને માટે ? હા, આપણે ધંધો કરીએ, પણ રીતસર ને બધું વ્યવહાર જેટલું જ વ્યવહાર એટલે નિરાંતે જમીને, અડધો કલાક આરામ કરી અને પછી ધંધા પર જવું. આમ દોડધામ, દોડદામ, દોડધામ કરવાની શી જરૂર ? જાણે બે હજાર વર્ષનું આયુષ્ય વધારે લખીને ના લાવ્યો હોય !!! આત્માનુંય કરવું જોઈએ ને ? આત્માનું તો પહેલું કરવું જોઈએ. તમે આત્માનું ગયા અવતારે કર્યું હતું તેથી અત્યારે આ સુખ ને શાંતિ છે, નહીં તો મજૂરી કરી કરીને મરી જાય. ગયા અવતારે આત્માનું કર્યું હતું તેનું આ ફળ છે. અને હવે નવેસરથી પાછું કરશો તેનું ફળ આવશે. પ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઈએ ? દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, ત્યારે આપણે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ. જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં. તમારી મિલકતની ખબર છે ?‘આ દુનિયામાં બધાં દુઃખો માનેલાં છે. રોંગ બિલીફ છે.’ એક (પા.૧૪૩)માણસ અહીં આગળ આવ્યા હતા. ‘દાદાજી મારે ઘણું દુઃખ છે, મારે ચોગરદમનું દુઃખ છે, પૈસા-બૈસાની બાબતમાં સાવ ગરીબ જેવો થઈ ગયો છું’. મેં કહ્યું, ‘આ બે આંખો બે લાખમાં આપવી છે ?’ ત્યારે કહે, ‘ના, ના અપાય.’ ત્યારે મેં કહ્યું, ‘આટલા બે લાખ તો આની કિંમત ગણો ? શું બોલો છો તમે આવું ? લાચારી બતાવો છો ?’ કેટલા લાખની મિલકત છે આપણી પાસે ? આ કાગળિયાંના પૈસા ગણો છો ? જુઓ તો ખરાં ? એક શ્રીમંતને આંખ ગયેલી હોય. ને વીસ લાખ રૂપિયા આપે તો કંઈ આંખ થાય ? એટલે તમારી પાસે મિલકત તો છે જ. તમારે વેચવી નથી. ધંધામાં જરાક ખોટ જાય કે માણસ દુઃખી દુઃખી થઈ જાય. મારી પાર્ટનરશીપનો નકશો હું તમને કહું તો તમને અજાયબી થશે. લાખ લાખ રૂપિયા જાય તોય અમે જવા દઈએ. કારણ કે રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું કહેવાનું ? આપણે છીએ અને આ તો ધૂળધાણી ! નફો-ખોટ, પોતાને કે પારકાને ?આ બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો-ખોટ સ્પર્શતાં નથી. અને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્સવાળો આવે, તો ધંધાને કહીએ કે ‘હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.’ અમને કોઈ પૂછે કે ‘આ સાલ ખોટમાં ગયા છો ?’ તો અમે કહીએ કે ‘ના ભાઈ, અમો ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !’ અને નફો થાય ત્યારે કહીએ કે, ધંધાને નફો થયો છે.’ અમારે નફો-તોટો હોય જ નહીં. ‘અનામત’ રાખો ધંધામાંપ્રશ્નકર્તા : અમુક લક્ષ ચોંટવાળાં નથી હોતાં, ને અમુક વસ્તુ (પા.૧૪૪)વેચવાની હોય ને આપણે ધારીએ કે પાંચ રૂપિયા નફો મળશે ને ત્યાં જ નુકસાન થાય તો ત્યાં પછી એની ચોંટ રહ્યા કરે. દાદાશ્રી : એ ખોટને તો આપણે ત્યાં ને ત્યાં જ જમે કરી નાખીએ કે ખોટ ખાતે જમા, અને ચોપડામાં જમે ઉધાર કાઢી નાખ્યું એટલે ચોપડો ચોખ્ખો થઈ ગયો. એવું છે કે આગળના બધા અભિપ્રાય બેઠેલા કે આમ નફો મળશે, તેમ નફો મળશે અને ત્યાં જ એ ખોટ ગઈ. એટલે આપણે ‘વ્યવસ્થિત’ છે એવું કહેવું પડે. હજી બીજી ખોટ જવાની હશે તે ‘વ્યવસ્થિત’માં હશે તો આવશે. એટલે આ નફો-ખોટ એ આપણા હાથમાં નથી. આપણે ના કહીશું તોય એ નફો આવ્યા કરશે. આપણે કહીએ કે ના, હવે હું તો કંટાળ્યો આ નફાથી, તોય ચાલે નહીં. એટલે આપણે ના કહીએ તોય નફો દબાણ કરે, નફાને માટેય દબાણ ને ખોટને માટે ય દબાણ ! માટે નફા ખોટનો હિસાબ જ ના કાઢવો. કો’ક શેઠિયા મને દબાણ કરે કે, ‘ના તમારે તો પ્લેનમાં કલકત્તા આવવું જ પડશે.’ હું ‘ના, ના’ કહું તોય દબાણ કર્યા કરે. એટલે કશું છોડે જ નહીં ને ! માટે એનો હિસાબ જ ના કરવો, વધઘટનો હિસાબ જ ના કાઢવો. જ્યારે જે દહાડે ખોટ લાગે ને, તે દહાડે આપણે પાંચ રૂપિયા ‘અનામત’ નામે જમે કરી દેવા. એટલે આપણી પાસે સિલક, અનામત સિલક રહે, કારણ કે આ ચોપડા કંઈ કાયમના છે ? બે-ચાર કે આઠ વર્ષે પછી ફાડી નથી નાખતા ? જો સાચો હોય તો ફાડે કોઈ ? આ તો બધું મનને મનાવવાનાં સાધનો છે. તો આપણે જે દહાડે દોઢસોની ખોટ ગઈ હોય ને. તે આપણે પાંચસો રૂપિયા અનામત ખાતે જમે કર્યા એટલે સાડી ત્રણસોની સિલક આપણી પાસે રહે. એટલે દોઢસોની ખોટને બદલે સાડી ત્રણસોની સિલક આપણને દેખાય એવું છે. આ જગત બધું ગપ્પેગપ્પ ચુમ્માળસો છે, બારેબાર ચુમ્માળસો નથી આ. બારેબાર ચુમ્માળસો હોત તો એ એકઝેક્ટ સિદ્ધાંત કહેવાત. સંસાર એટલે ગપ્પેગપ્પ ચુમ્માળસો અને મોક્ષ એટલે બારેબારા ચુમ્માળસો. તમારે તો લાઈન સારી છે તે કશી વધઘટ આવવાનું સાધન જ નહીં ને ! ખોટ જાય તો પડોશીને જાય, દુકાનદારને જાય કે શેઠને જાય. આપણે તો ભાગિયા નહીં, તે ભાગ્યશાળીયે નહીં થવાનું અભાગિયાય (પા.૧૪૫)નહીં થવાનું, નોર્મલ !! અને જો કદી આ જ્ઞાન ના મળ્યું હોત, મનમાં એમ થાય કે આ જગતમાં હજી મને ફત્તેહ જેવું નથી, તે પછી બધા જોડે રેસકોર્સમાં ઊભા રહેવું પડત. દોડાય જરાય નહીં અને રેસકોર્સમાં ઊભા રહેવું પડે તો શી દશા થાય આપણી ? પાછું બધા દોડતા ઘોડાની ઉપાધિ આપણે કરવાની. એટલે તમને સમજાયું ને ? કે આ જગત એકઝેક્ટ નથી. બારેબાર ચુમ્માળસો નથી, આ તો ગપ્પેગપ્પ ચુમ્માળસો છે. બારેબારા ચુમ્માળસો હોય તો તો ભગવાનનો સિદ્ધાંત થયો કહેવાય, પણ એવું આ જગત નથી. અમારે ધંધાને ખોટ આવે તો હું કહી દઉં કે વીસ હજાર રૂપિયા અનામત નામે જમા કરી દો. પછી અનામત નામ પરની સિલક કાઢવી. હવે એ સિલક મૂકવી ક્યાં એ તો ભગવાન જાણે ! ખરેખર તો એ સિલક છે જ ક્યાં ? છતાં એવી સિલક હોય અને વખતે આપણે સાચવીને મૂકીએ ને કોઈ લઈ ગયું તો ? એટલે ક્યારે કોઈ લઈ જશે તેનુંય કશું ઠેકાણું નથી, કોના હાથમાં શું સ્પર્શે, તેનુંયે ઠેકાણું નથી. મારી વાત તમને સમજાય છે ને ?! નિયમો, સ્પર્શના...એટલે આ જગત બધું સ્પર્શના નિયમના આધારે ચાલે છે. આ સ્પંદનો છે ને, તો સ્પર્શના નિયમોના આધારે ચાલે છે. અત્યારે આ ઠંડો પવન આવે છે ને, તોય અંદરથી સ્પર્શ એવો થાય કે અહીં આગળ દઝાયા હોય એવું લાગે. આ રૂપિયાનો સ્પર્શ થાય, મીઠાંનો સ્પર્શ થાય, કડવાનો સ્પર્શ થાય એવા સ્પર્શ નથી થતા ? એટલે જે સ્પર્શ થવાનો હશે તે થશે. આ માથાના વાળ માટે તું ચિંતા નથી કરતો કે ગાંયજો ન મળે તો શું કરીશું ? ગાંયજો હડતાળ પાડે તો શું કરીશું ? જેનો અભિપ્રાય, તેના વિચારપ્રશ્નકર્તા : ના, પણ અમુક બાબત તરફ તો દુર્લક્ષ જ હોય છે. દાદાશ્રી : ના, એવું છે, કે જેમાં આગ્રહ નથી કર્યો તેનો કશો વિચાર નથી આવતો અને જેના આગ્રહ કર્યા છે, જેના અભિપ્રાય બાંધ્યા (પા.૧૪૬)છે તેના જ વિચારો આવે. આ વાળ વધે તોય તને કશું નહીં ને ઘટે તોય કશું થાય નહીં, એટલે એનો વિચાર જ ના આવે. કેટલાકને તો વાળના બહુ વિચાર આવે. આ સ્ત્રીઓને ગાંયજા સંબંધી વિચાર આવતા હશે ? એમને વાળ કપાવવાની જરૂર જ નથી ને ? એટલે એ તરફના વિચાર જ નહીં આવવાના. ગાંયજાઓ જીવો કે મરો, પણ એ સંબંધી વિચાર જ ના આવે, જેના અભિપ્રાય વધારે બાંધેલા, તે જ ખૂંચ ખૂંચ કર્યા કરે. સમભાવસમભાવ કોને કહે છે ? સમભાવ નફાને અને ખોટને સરખું ના કહે. સમભાવ એટલે નફાને બદલે ખોટ આવે તોય વાંધો નહીં, નફો આવે તોય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય, અને પેલાથી (ખોટથી) ડિપ્રેશન ના આવે. એટલે કશું થાય નહીં. દ્વંદ્વાતીત થયેલાં હોય. અમારા ધંધાની વાતોબાકી, ધંધામાં ખોટ આવી હોય તો લોકોને કહું અને નફો આવ્યો હોય તોય કહી દઉં ! પણ પણ લોક પૂછે તો જ નહીં તો મારા ધંધાની વાત જ ના કરું. લોક પૂછે કે, ‘તમને હમણાં ખોટ આવી છે, એ વાત ખરી ?’ ત્યારે હું કહી દઉં કે ‘એ વાત ખરી છે’. કોઈ દહાડોય અમારા ભાગીદારે એમ નથી કહ્યું કે તમે કેમ કહી દો છો ? કારણ કે આવું કહેલું તો સારું કે લોક ધીરવા આવતા હોય તો બંધ થઈ જશે ને દેવું વધતું-ઓછું થશે, નહીં તો લોકો શું કહેશે ? ‘અલ્યા, ના કહેવાય, નહીં તો લોક ધીરશે નહીં.’ પણ આ તો આપણે દેવું વધી જાય ને, ચોખ્ખેચોખ્ખું કહી દો ને, જે થયું હોય તે કે ભઈ ખોટ ગઈ છે. ખોટ ગઈ હોય તોય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે સામો ભાવના કરે. એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય. એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે ! જેટલી ફિકરો આવે તેને આમ ફાકી કરીને ફાકી જવાની. અમે વેપાર કરતા હતા ત્યારે બહુ ફિકરો આવેલી, જ્ઞાન પહેલાં. ત્યારે જ આ જ્ઞાન થાય ને ! અમારા છોકરા મરી ગયા ત્યારે પેંડા ખવડાવેલા ! (પા.૧૪૭)અમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો તો વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે, ના, ના. લે આ રૂપિયા આ પૈસા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે આ લોકો તો કહે છે કે ખોટ આવી. ત્યારે હું કહું કે ના, ના. આ તો વધારે કમાયા છીએ. પણ આ વાત ખાનગી રાખજો. અમારા ધંધામાં ખોટ જાય તો કેટલાકને દુઃખ થાય. તે મને કહેવા આવે કે કેટલી ખોટ આવી છે ? બહુ આવી છે ? ત્યારે હું કહું કે ખોટ આવેલી, પણ હમણાં ઓચિંતો એક લાખ રૂપિયાનો નફો મળ્યો ! તે પેલાને ટાઢક થઈ જાય. સામાને આનંદિત કરીને આમઅમારે કંપનીમાં ખોટ આવેલી તે જરા ઠંડું પડેલું, તે વડોદરે જઈએ ત્યારે લોકો પૂછે કે, ‘બહુ ખોટ આવી છે ?’ ત્યારે મેં કહ્યું કે ‘કેટલી લાગે છે તમને ?’ ત્યારે કહે કે ‘લાખેક રૂપિયાની ખોટ આવી લાગે છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘ત્રણ લાખની ખોટ ગઈ છે.’ હવે ધંધાને અરધા લાખની કે પોણા લાખની ખોટ આવી હોય, પણ હું તેને ત્રણ લાખની કહું, કારણ કે પેલો ખોળવા આવેલો હોય ! એ શું ખોળવા આવ્યો છે એ હું જાણું કે આને જો હું લાખની કહીશ તો ખુશ રહેશે ને બિચારાને ઘેર ખાવાનું ભાવશે. એટલે હું કહું કે ત્રણ લાખની ગઈ એટલે તે દહાડે એ જમે નિરાંતે. અને બીજો કો’ક લાગણીવાળો આવે ને પૂછે કે ‘ખોટ બહુ ગઈ છે ?’ ત્યારે હું કહું કે, ‘ના, પચાસેક હજારની ખોટ ગઈ છે.’ એટલે એનેય ઘેર જઈને શાંતિ રહે. લાગણીવાળા અને પેલા બેઉ જાતનાં લોક આવવાનાં, બેઉને ખુશ કરીને કાઢવાનાં. હું કહું કે, ‘ત્રણેક લાખની ખોટ ગઈ છે.’ એટલે પેલો તો બહુ ઉછાળે ચઢે. એને કહું પાછો કે ચા પીને જાવ ને ?’ ત્યારે કહે કે, ‘મારે જરા કામ છે’, કારણ કે પેલો આનંદ આવી ગયો ને, એટલે આ બધું આવી ગયું, એને એનો ખોરાક મળી ગયો, કારણ કે દ્વેષ છે ને ?! આ સ્પર્ધા એવી વસ્તુ છે કે સ્પર્ધાના માર્યા ચાહે સો કરી નાખે માણસ. સ્પર્ધા કે, ‘મારા કરતાં આગળ વધી ગયો છે ? હવે પાછળ પાડવા જ જોઈએ.’ એટલે પાછા પાડવાનો પ્રયત્ન કર્યા કરે. એવાને હું એવું (પા.૧૪૮)ચોખ્ખું જ કહી દઉં ને, કે વધારે ખોટ ગઈ છે. જો એને નિરાંતે ખાવાનું ભાવ્યું ને ! એનો આપણને વાંધો નથી. પણ લોકોને તો શું કે જવાબ તો આપવા પડે ને ! તેને જો કહી દઈએ કે, ‘ના, કશી ખોટ નથી ગઈ’ એટલે પેલો વધારે ખોળી લાવે પાછો કે આ તો નન્નો ભણે છે. એટલે એને કહેવું પડે, ‘નન્નો નહીં, હા ભણું છું. ત્રણ ગણી ખોટ ગઈ છે. જેણે તને કહ્યું હોય તેને પૂછી જોજે. તેને ખબર નહીં હોય. પણ મને ખોટ સારા પ્રમાણમાં ગઈ છે.’ પછી થોડા દિવસે પાછો ફરી આવે ને કહે કે, ‘હવે ધંધાનું કેમનું છે તમારે ? બંધ કરવું પડશે ?’ ત્યારે મેં કહ્યું કે, ‘આ તો સાત લાખની મિલકત હતી તેમાંથી ત્રણ લાખ ઓછી થઈ ગઈ’ એટલે એને નવી જાતનું જો બોલીએ. ‘અલ્યા, તું મને ક્યાંથી પહોંચી વળવાનો હતો ?’ હું જ્ઞાની પુરુષ છું, તને દુઃખ નહીં આપું, પણ તું આ રીતે ખોળ ખોળ કરીશ નહીં. આ તો વગર કામના પાછળ ફર્યા કરે ! તે આવા મેં તો બધા બહુ જોયેલા. જગત છે ને, બધી જાતનું લોક હોય ! જ્ઞાનીના અનુભવોનાં તારણો...આ હું તો પાછો બધું અનુભવના તારણ પર લાવેલો, બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો ફૂલિશ જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે બળ્યા ! ખોટેય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી. પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : અને નફો ? પ્રશ્નકર્તા : નફોય આવે. દાદાશ્રી : એટલે તો લમણે લખેલું છે બળ્યું ! હું નાનપણથી સમજી ગયેલો કે આ લમણે લખેલું છે. આ તો વગર કામનું દળેલાને દળદળ કરે છે. આ તો બધું લઈને આવેલા છે. આ વાળ ઊગ્યા કરે છે કે નહીં ? કે ચિંતા ના કરે તોય ઊગે ને ? પ્રશ્નકર્તા : ઊગે. (પા.૧૪૯)દાદાશ્રી : આ આંખોમાં જે અજવાળું રહે છે ને એ જો એમ કહ્યું હોત કે જો તમે પ્રયત્ન કરશો તો અજવાળું રહેશે. તો ત્રણ દહાડામાં આંધળો થઈ ગયો હોત. આ તો કુદરતને આધીન છે ને ! એ જ્ઞાનરસ તો એટલી બધી ઝીણી ઝીણી નસોમાંથી ફરે છે, એ આ અજવાળું રાખે છે તે વાળ કરતાંય પાતળી નસો છે. અને ડૉક્ટરના હાથમાં સોંપે ને તો ત્રણ દહાડામાં આંધળો કરી નાખે. આ કુદરત એટલી બધી સુંદર છે. આ કુદરતનો આપણે ઉપકાર માનવો જોઈએ. અને આ વગર કામની પૈસાની હાય, હાય શું કરવાની ?! અલ્યા ખોટ આવે છે, તેય વગર વિચારે જ આવે છે. ત્યારે પેલો નફો કંઈ વિચારીએ ને આવતો હશે ? વિચારવાથી તો ઓછું થાય ઊલટું ! આપણે આપણું કામ કર્યે જાવ. સવારમાં બધા આઠ વાગે દુકાન ઉઘાડે. તો આપણે પણ આઠ વાગે ઉઘાડવાની. બધા નવ વાગ્યે ઉઘાડે તો આપણે દુકાન નવ વાગે ઉઘાડવાની. બધા નવ વાગે ઉઘાડે તો આપણે કંઈ પાંચ વાગે ત્યાં જઈને બેસવાનું નહીં. અને બધાય રાત્રે સાડા દસે સૂઈ જાય એટલે આપણે જાણવું કે બધા સૂઈ ગયા છે, હવે એમ કરીને આપણે સૂઈ જવાનું. પછી વિચારવા-કરવાનું નહીં. કાલે શું થવાનું છે એનો વિચાર આજે નહીં કરવાનો. બધા સૂઈ ગયા તે હું એકલો એવો મૂરખ કે જાગ્યા કરું ? બહાર જોઈએ તો એવી સમજણ ના પડે ? પ્રશ્નકર્તા : સમજણ તો પડે પણ મન કૂદાકૂદ કરતું હોય ને આવતી કાલનું કામ પણ આજે પતાવી દઉં ને ? દાદાશ્રી : હા, મન કૂદાકૂદ કરે. પણ મનને કહીએ કે જો બધા સૂઈ ગયા છે. તું જો વગર કામની બૂમાબૂમ કરીશ તો એમાં કશો સ્વાદ નહીં કાઢું, બધા સૂઈ ગયા ને તું એકલો ડહાપણવાળો વગર કામનો ક્યાંથી જગાડે છે ? કહીએ. આ તો રાતે જાગે તોય સવારમાં કશું વધ્યું ના હોય ને ઊલટો મોડો ઊઠે. આ બધું ઑન ટ્રાયલ મેં લઈ લીધું છે, હોં ! આખી લાઈફ પૂરી ટ્રાયલ લીધી છે. દરેક વસ્તુમાં ટ્રાયલ લઈને જ હું આગળ ચાલ્યો છું. એમ ને એમ નથી ખસ્યો હું અને કેટલાય અવતાર ટ્રાયલથી જ લાવેલો છું. (પા.૧૫૦)ત્યારે તો હું તમને આ બધી અનુભવી વાતો કરી શકું છું. અને તો ખુલાસો થાય ને ! ખુલાસા ના થાય તો માણસ ગૂંચાય. ચોરીઓ થાય... પોલીસોય બોલાવાયઅમારે કામ પર એવું હતું ને કે જેને રાખીએ તે જ ચોરીઓ કરાવડાવતો હતો. પછી એકને બદલે બે માણસ રાખ્યા. એક રાતનો ને એક દહાડાનો એમ બે માણસ રાખ્યા. તો તેય ચોરી કરાવતો હતો. બીજે ત્રીજે દહાડે ચોરીઓ થયા જ કરે. હું સમજી ગયો કે આ બધું બરાબર છે, આ હિસાબ બધો ચૂકવી દેવાનો થયો છે. આ ગામમાં ચોરીઓનો હિસાબ ચૂકવવા આવ્યા છીએ, તે બધો હિસાબ ચૂકવાઈ જાય એટલે ઉકેલ આવી ગયો. ચોર ચોરીઓ કરે ને અમારે સવારમાં જાણવાનું, પાછું સાત દહાડે પોલીસવાળાને ખબર આપવાની. એ ખાતર પાછળ દિવેલ ! એમ કરવાનું ? ના, એય નાટક કરવું પડે. નાટક ના કરીએ તો પછી ખોટું ઠરે, પાછો ફોજદાર આવે, એ ફોજદાર પૂછે કે, ‘શું શું ગયું ? ત્યારે હું કહું કે, ‘આ આ ગયું છે. અમુક સામાન બધો ગયો છે, તમે એક વાર બધાંને દબડાવો.’ તે પછી એ બધાને દબડાવી આવે કે, ‘હેય, આમ કેમ ? હેય, આમ કેમ ? હું આવ્યો છું.’ આપણે જાણીએ કે કાલથી પાછી ચોરીઓ ચાલુ થઈ જવાની, આપણે એ જ્ઞાન જાણતા જ હોઈએ. ફોજદાર દબડાવે, પેલા ચોરી કરે, આપણે આ બધું કરાવડાવીએ, એમ બધું ચાલ્યા કે ! પણ ‘વ્યવસ્થિત’ ની બહાર કશું થઈ જવાનું નથી. બાર મહિના સુધી ચોરી થઈ, પણ અમારે ત્યાં કોઈને પેટમાં પાણી હાલેલું નહીં. એ જ ચોરીઓ થયા કરે, આપણે જાણ્યા કરવાનું કે ભઈ, આજે આટલી ચોરી થઈ. ચોર ચોરી કરે છે એ તો બિચારા સારા, બાકી જે શાહુકાર કહેવાય ને, એ ચોરીઓ કરે, એ તો વધારે ગુનેગાર છે. એના કરતાં પેલા તો ચોર જ છે. એ કહે પણ છે ને, કે મારો ધંધો જ ચોરી છે. આવી ચોરીઓ ના શોભેપ્રશ્નકર્તા : પણ આવું ના કરે તો પેટ ક્યાંથી ભરે ! દાદાશ્રી : અમનેય એવો ભય લાગતો હતો પહેલાં. આ કળિયુગમાં (પા.૧૫૧)અમેય જન્મેલા ને ! તે ૧૯૫૧ સુધી તો એવો ભય રહ્યો હતો પણ પછી ભય છોડી દીધો. કારણ કે આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી બ્લડ ચૂસી લેવા જેવું છે. અને લોખંડ કાઢી લેવું એ આ બધા સ્કેલેટન (હાડકાં) કાઢી લેવા જેવું છે. સ્કેલેટન કાઢી લીધું, લોહી કાઢી લીધું, પછી મકાનમાં રહ્યું શું ? આપણને ચોરી ના શોભે - આપણે શાહુકાર થઈને ચોરી કરીએ તેના કરતાં તો ચોર સારા - આ ચોરીઓ કરે છે ને તેના કરતાં ભેળસેળ કરે છે તે તો વધારે ગુનેગાર છે. આ તો ભાન જ નથી કે હું આ ગુનો કરું તેનું ફળ શું આવશે, બેભાનપણામાં ભાન વગર જ ગુના કરે છે. કાળા બજારની ફસામણએટલે અમે માર બહુ ખાધેલા. કાળાબજાર કરેલા. ને બધું કર્યું અને માર ઉપાધિઓ હતી. પ્રશ્નકર્તા : ત્યારે કાળા બજાર હતા નહીં ? દાદાશ્રી : અરે, હતા. ’૪૨ની સાલમાં મારું લોખંડનું કારખાનું હતું. એ તો એગ્રિકલ્ચર ઈન્સ્ટ્રુમેન્ટ બધાં આપવાનાં. બીટકો એન્જિનિયરિંગ કંપની. તે સરકાર લોખંડ આપે અગિયાર રૂપિયા હંડ્રવેટથી અને બત્રીસ રૂપિયાનો ભાવ બજારમાં ચાલે. અહીં અમારા ભાગીદાર કંટ્રાક્ટના ધંધામાં સરકારને અમુક... આના ફૂટે આપે, અને બહાર રૂપિયો ભાવ ચાલે. એટલે આ પાઈપો વેચ વેચ કરે. ધંધા અંગે આવેલીને અને લોખંડ વેચ વેચ કરીએ. કાળો બજાર નહીં કરવાની ઇચ્છા હં. દાનત ચોર નહી જરાય આવી. પણ કંઈક બુદ્ધિએ માર ખવડાવી દીધો. શી રીતે માર ખવડાવ્યો ? પેલું લોખંડ તો ભેગું થવા માંડ્યું અને પૈસા આપણી પાસે, રકમ ત્યાં વ્યાજે લાવવા માંડી. ત્યારે એક દલાલ આવ્યો તે કહે ‘સાહેબ, આટલો બધો માલ છે, અમને આપતા હોય તો શું ખોટું ?’ મેં કહ્યું, ‘ભઈ, કાળો બજાર અમારાથી ના થાય.’ ત્યારે તેણે કહ્યું, ‘કાળા બજાર તમે ના કરતા. મારા જેવાનું પેટિયું રળી આપવાનું કરી આપો.’ આ એ હું ભૂલ ખઈ ગયો ત્યાં આગળ. એટલે કાળા બજારનો ભાવ ભલે ૩૨ રૂપિયા છે, એ તમે ના લેશો. પણ મારે તો (પા.૧૫૨)આ પેટિયું નીકળે એવું તો કરી આપો.’ ત્યારે મેં કહ્યું, ‘પણ તે તેને વેચવું પડે ને ?’ ‘હા, ઓછું લઈને આપો એટલે પેલા પાસે પેટિયું નીકળે. એટલે પછી એમને ૨૫ રૂપિયે આપ્યું. પણ એણે ૩૨ ને બદલે ૩૫ લીધા. એટલે પછી અમને ખબર પડી કે આ તો ઊલટું ડબલ ચોર લોકોની પાસે વધારે લૂંટાવડાવ્યું, એનાં કરતાં આપણે સીધું આપો. હવે કહ્યું એમ કરતું કરતું સ્લીપ થતું થઈ ગયું. અને સ્લીપ થઈ ગયા પછી જોઈ લો પરિણામ એનાં ! સારાં માબાપનું છોકરું ચોરી કરી લાવે તો કેટલા દહાડા ઊંઘ આવે એને ?! ખૂંચ્યા કરે ને ? રોમે રોમે કૈડવા માંડ્યું એટલે મેં મારા ભાગીદારને કહ્યું, ‘આ તમારી પાસે ને મારી પાસે, આ મૂડી જતી રહે, વહેલામાં વહેલી તકે તો સારું. ને આવો પૈસો ફરી ભેગો ના કરીએ. પણ તે લક્ષ્મી જતી રહી, ચાલવા માંડી. પુણ્યશાળી લોકો ! પાંચ-સાત વર્ષમાં જતા રહ્યા. એ તો એવું બનેલું કે એલેપ્પીમાં અમારી પેઢી હતી. અમારી ને અમારા ભાગીદારની ત્યાં પેઢી હતી ! સૂંઠ ને મરીનો મોટો બિઝનેસ. કાળાબજારનું ધન ભેગું થયું ને, તે ત્યાં ઓફિસમાં નાખ્યું પછી. પણ ત્યાં આ નાણું ગયું. તે આપણે ફાવ્યા. નિરાંત થઈ ગઈ. તે પછી અમારા ભાગીદારનો કાગળ આવ્યો કે ભલે ગયું હશે, પણ હવે ફરી પાછું રાગે પડે એવું મને લાગે છે. માટે હવે છેલ્લા, વધારે નહીં, પણ ચૌદ હજાર તો મને મોકલો. એટલે મેં ૧૯૪૫-૪૬માં ચૌદ એમને મોકલ્યા અને કાગળમાં જોડે લખ્યું કે આ ચૌદ હજાર જાય તો ચિંતા કર્યા વગર પાછા આવજો. વખતે આ જાય, ધાર્યા પ્રમાણે ના પડે, અને જાય તો એની ઉપાધિમાં પડશો નહીં. પણ આપણે વહેલી તકે પાછા આવો. આપણે છીએ તો વહેલી તકે કમાઈશું. નહીં તો આપણા પર એટેક થાય તો શી દશા થાય ? અને એટલે તો ’૪૬ની સાલથી જ ચાલુ થઈ ગયેલા. આ એટેક વધ્યા ક્યારથી ? ૧૯૩૯માં આ હિટલરે વલોણું વલોવ્યું વર્લ્ડનું ત્યારથી એટેકની શરૂઆત થઈ ગઈ. એટલે પછી મને મારા ભાગીદારનો કાગળ આવ્યો, કે હું ધારતો હતો પણ મારું ધારેલું અવળું પડ્યું, અને ચૌદ હજાર ગયા. એટલે આ પૈસા મારે ખાતે, સ્વતંત્ર મારે ખાતે ઉધારજો કે તમે ના કહ્યું છતાં મેં કર્યું’, એટલે મેં કહ્યું, ‘હવે બીજા કોઈ ભાગીદારને આવું કહેશો નહીં. મને કહો તો મારે એવું કશું કરવાનું (પા.૧૫૩)નથી. મારે તો તમે બીજા લાખ ખોઈને આવો તોય તમારા ભાગીદારમાંથી મટીશ નહીં. તમે જે કરીને આવો તેમાં હું ભાગીદાર અને નફો આવતાં હું લેત પાછો, નહીં ? ના લેત ? ના કહ્યા પછી એ નફો આવ્યો હોત તો ના લેત હું ? પ્રશ્નકર્તા : હા, લેત. દાદાશ્રી : તે પછી તે ન્યાય તરત ના સમજણ પડે આપણને ? મેં કહ્યું ‘તમે જે કરીને આવો છો, તેનો અમને વાંધો જ નથી.’ તે પછી એમના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, ‘ચૌદ હજારમાં શું બગડવાનું હતું તે ? આપણે તો જીવતા છીએ ! આપણે જીવતા છીએ તો ફરી દુનિયા ઊભી કરી નાખીશું. ગયા પછી નવી દુનિયા થાય એવી. આપણે જીવતા છીએ, એટલું કહ્યું એટલે રાગે આવી ગયું પછી. ખોટું નાણું જ ખવાયધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું. તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ. સારો ધંધો કયો ?ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઈને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તો શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાંય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તો જનાવરમાં - ચાર પગમાં પેસી જઈશ. ચાર પગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે. અનાજનું વજન કરે, જોડે જીવડાં હઉ મરી જાય ! શી રીતે એનો મેળ પડે ? પડે મેળ ? કેવા ધંધા હાથમાં આવ્યા છે ? ધંધા કેવા ચોખ્ખા હોય છે ? નથી હોતા ચોખ્ખા ધંધા ? સોનાનો ધંધો કેટલો ચોખ્ખો ? જેને (પા.૧૫૪)મહીં ભેળસેળ ના કરવું હોય તો ચાલે કે ના ચાલે ? એ તો લગડીઓ બહુ અહીંથી લાવીને ત્યાં દઈ આવ્યા. પણ આ કરિયાણાનો ધંધો, આમાં તો છૂટકો જ ના થાય. આમાં તો એની મેળે જીવડાં પડી ઉઠે, તમારી ઇચ્છા ના હોય તોય જીવડાં પડી ઉઠે. હિંસાવાળા ધંધા...એટલે પુણ્યશાળીને કયો ધંધો મળી આવે ? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો કયો ? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં, પણ એમાંય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં, કશી ઉપાધિ નહીં, અને પછી બીજા નંબરે સોના-ચાંદીનો અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો કયો ? આ કસાઈનો, પછી આ કુંભારનો. પેલા નિભાડામાં સળગાવે છે ! એટલે બધી હિંસા જ છે. પ્રશ્નકર્તા : ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને ? પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય ? દાદાશ્રી : તે લોકો ભોગવે જ છે ને ! આખો દહાડો તરફડાટ, તરફડાટ... આમાં ભોગવે છે જ ને આ બધા ! જેટલાં હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમના મોઢા પર તેજ ના આવે કોઈ દહાડોય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય તેને બહુ અડે નહીં. ખેડનારને અડે. એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો એટલે ધિસ ઈઝ બટ નેચરલ. આ ધંધા મળવા, એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તોય એ બંધ થાય એવું નથી. કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધાય લોકોને મનમાં વિચાર આવે કે, ‘છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી વહુ રાંડે.’ તો તો આખા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં. (પા.૧૫૫)સાચું-ખોટું ધંધામાંધંધામાં મન બગાડે તોય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગાડે તોય નફો ૬૬,૬૧૬ રહેશે, તો કયો ધંધો કરવો ? પ્રશ્નકર્તા : આપણે જે ધંધા કરીએ એમાં સાચું-ખોટું પણ કરવું પડે છે તો શું કરવાનું ? દાદાશ્રી : તમને જેટલી સમજણ પડે, ખોટું ને ખરું, એટલું જ ને ? કે બધુંય ખોટું છે એવી તમને સમજ પડી ? પ્રશ્નકર્તા : બધું તો ખોટું તો ન જ હોય ને ! દાદાશ્રી : તમને સમજ પડે એટલું કરો. નાનો છોકરો એના પ્રમાણમાં કરે, અને મોટી ઉંમરના એના પ્રમાણમાં કરે, સહુ સહુને સમજણ પડે એટલું ખરું ખોટું સમજે. નાના છોકરાને હીરો આપીએ તો હીરો લઈ ને બહાર રમવા જાય અને કોઈક બિસ્કિટ આપે તો લઈ લે, કારણ કે એને સમજણ નથી ને ! તમને ખરા-ખોટાની સમજણ ક્યાંથી આવી ? પ્રશ્નકર્તા : દુનિયાદારીની રીતે જે કહેતા હોય ને, અગર તો આપણને એમ લાગતું હોય કે આ ખોટું છે. કોઈને માલ વેચ્યો અને આપણે ખોટું બોલીએ એ બધું ખોટું કહેવાયને ? દાદાશ્રી : એ તો આપણને દુઃખ થાય તે ઘડીએ આપણને અંદર ખરાબ લાગે. પોતાને સમજણ પડે કે આ ખોટું થઈ રહ્યું છે અને સુખ થાય તો પોતાને સમજણ પડે આ સારું જ થઈ રહ્યું છે. તમે દાન આપતા હો તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય, કારણ કે સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ? ખોટામાં જિવાય જ કેમ ?પ્રશ્નકર્તા : હવે ખોટું બંધ ના થાય તો, એના માટે શું કરવું ? (પા.૧૫૬)દાદાશ્રી : એ ખોટું બંધ કરતાં આવડવું જોઈએ ને ? તો એ ખોટું કરવાનું શીખ્યા ક્યાંથી ? કોઈએ શિખવાડેલું નહીં ? પ્રશ્નકર્તા : દુનિયાદારી શીખવાડે છે કે ખોટું બોલો, ખોટું કરો. પૈસા કમાવા માટે શીખવાડે છે. દાદાશ્રી : હા, પણ તે આપણે શીખવું હોય તો શીખીએ, ના શીખવું હોય તો ના શીખવાડે. પ્રશ્નકર્તા : બિઝનેસમાં ખોટું કરતા હોય તો એમાંથી અલગ રહેવાનો રસ્તો શું ? દાદાશ્રી : પણ ખોટું કરો છો જ શું કરવાને ? એ શીખ્યા જ ક્યાંથી ? બીજું સારું કોઈ શીખવાડે ત્યાંથી સારું શીખી લાવો. આ ખોટું કરવાનું કોઈની પાસેથી શીખ્યા છો તેથી તો ખોટું કરતાં આવડે છે, નહીં તો ખોટું કરવાનું આવડે જ શી રીતે ? હવે ખોટાનું શીખવાનું બંધ કરી દો અને ખોટાના બધા કાગળો બાળી નાખો ! પ્રશ્નકર્તા : પણ તો ધંધો ના ચાલે, ધંધો એવો હોય કે ખોટું તો કરવું જ પડે. દાદાશ્રી : ધંધો ના ચાલે તો તમને શું નુકસાન ? પ્રશ્નકર્તા : ધંધો ના ચાલે તો પૈસા ના મળે અને આપણને દુનિયામાં રહેવું છે. દાદાશ્રી : શી રીતે તમે એવું જાણો કે ખોટું નહીં કરીએ તો ધંધો નહીં ચાલે ? એનું ફોરકાસ્ટ છે બધું તમારી પાસેથી ? ફોરકાસ્ટ વગર શી રીતે તમે કહી શકો કે તમારું નહીં ચાલે ? એટલે થોડા દહાડા આમ જે ખોટું કરો છો તેનાથી અવળું તો કરો. કરી તો જુઓ, તો ખબર પડે કે ધંધા પર શી અસર થાય છે ! કોઈ ઘરાક આવે ને એ પૂછે, ‘આની શી કિંમત છે ?’ ત્યારે કહીએ ‘અઢી રૂપિયા’. પછી પેલો કહેશે કે ‘સાહેબ, આની ખરી કિંમત કેટલી છે ?’ ત્યારે તમારે ખરું કહેવાનું કે, ‘બજારમાં આ લેવા જઉં તો આની ખરી કિંમત પોણા બે રૂપિયા મળશે.’ એવું આપણે એક ફેરા કહી તો જુઓ પછી શું થાય છે એ જુઓ. (પા.૧૫૭)પ્રશ્નકર્તા : તો પછી આપણી પાસેથી માલ કોઈ લેશે નહીં. દાદાશ્રી : એ લેશે કે નહીં લેશે, તેની તમને શી રીતે ખબર પડી ? તમને ફોરકાસ્ટ થયેલું હોય, જાણે પોતાને આગળનું દેખાતું હોય એવું કરે છે ને લોકો ? એ ના લે તો બીજો ઘરાક લઈ જશે, નહીં તો ત્રીજો કોઈક તો લેનાર મળશે ને ? પ્રયત્ન થાય, પરિણામ વ્યવસ્થિતધંધામાં પ્રયત્ન કરવાનો, ‘વ્યવસ્થિત’ એની મેળે ગોઠવ્યા કરશે. તેય તમારે ફક્ત કર્યા કરવાનો, એમાં આળસ નહીં કરવાની. ભગવાને કહ્યું છે કે બધું ‘વ્યવસ્થિત’ છે. નફામાં હજાર કે લાખ આપવાના છે, તે ચાલાકી કરવાથી એક આનોય વધશે નહીં અને ચાલાકીથી આવતા અવતારના નવા હિસાબ બાંધશો એ જુદા ! પ્રશ્નકર્તા : પણ ધંધામાં ચાલાકી કર્યા વગર તો ધંધો ચાલે નહીં ને ? દાદાશ્રી : ભગવાને શું કહ્યું છે આ બધું તને ‘વ્યવસ્થિત’ માં છે એટલું જ મળશે અને ચાલાકીથી કર્મ બંધાશે ને પૈસા એકુંય વધશે નહીં ! એક માણસ ચાલાકી સાથે ધંધો કરે, પણ નફો તેને તે જ રહે ને ચાલાકી કર્યાનું કર્મ બંધાય તે જુદું. માટે આ ચાલાકી ના કરશો. ચાલાકીથી કશો ફાયદો નથી ને નુકસાન પાર વગરનું ! ચાલાકી નકામી જાય છે અને આવતા અવતારની જોખમદારી વહોરી લે છે. ભગવાને ચાલાકી કરવાની ના કહી છે અત્યારે તો કોઈ ચાલાકી કરે જ નહીં ને ? પ્રશ્નકર્તા : બધા જ કરે છે દાદા. દાદાશ્રી : એમ ?! શું વાત કરો છો ?! પણ આપણે હાથે કરીને ચાલાકી નહીં કરવાની. ચાલાકીનો તને ફોડ પડ્યો ને ? પ્રશ્નકર્તા : લોભની ગાંઠ હોય તો તેનાથી ચાલાકી થાય એવું ! દાદાશ્રી : લોભની ગાંઠ લોકોને હોય જ પણ ચાલાકી ના પણ હોય. ચાલાકી તો આ કાળમાં બીજાનું જોઈને શીખી ગયેલા. ચાલાકી એ (પા.૧૫૮)ચેપી રોગ છે, બીજાને ચાલાકી કરતાં જુએ એટલે પોતેય કરે. તમારે ચાલાકી કરવી પડે કે ? પ્રશ્નકર્તા : મારે એની જરૂર નથી પડતી. ચાલાકી કરવી ને કપટ એ બે જુદાં કેવી રીતે ? દાદાશ્રી : કપટ એ વસ્તુ છે ને એની સામાનેય ખબર ના પડે અને તને પોતાને ય ખબર ના પડે કે મહીં કપટ થઈ રહ્યું છે. જ્યારે ચાલાકીની તો ખબર પડી જાય, પોતાનેય ખબર પડી જાય અને બીજાનેય ખબર પડી જાય. પ્રશ્નકર્તા : આપણી સામે કોઈ ચાલાકી કરતો હોય તો આપણે પણ સામી કરવી જોઈએ ને, એવું અત્યારે તો લોકો કરે છે. દાદાશ્રી : આવી જ રીતે ચાલાકીનો રોગ પેસી જાય ને ! અને ‘વ્યવસ્થિત’નું જ્ઞાન હાજર હોય તેને ધીરજ રહે. કોઈ આપણી જોડે ચાલાકી કરવા આવે તો આપણે પાછલે બારણેથી નીકળી જવું, આપણે સામી ચાલાકી કરવી નહીં. વગર ચિંતવ્યે આવી મળેપૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે કમાવાની તું ભાવના જ ના કરીશ. દાદાશ્રી : તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ? પ્રશ્નકર્તા : ના સાહેબ. દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તોયે ડોલ પાણીની મળે છે કે નથી મળતી ? પ્રશ્નકર્તા : મળે છે. દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ (પા.૧૫૯)પણ વગર કામનું ધ્યાન કરે છે. આખો દહાડો ગોદડાનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઈ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઈ ચાલી, બ્લડપ્રેશર થઈ ગયું, હાર્ટફેઈલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે લક્ષ્મીની-પૈસાની પાછળ પડ એવું શીખવાડ્યું ?! આમને કોઈ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમના ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો, ત્યારે કઈ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે આ ‘જ્ઞાની’ની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય. એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતા નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય. અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઈશું ? આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઈને ભાન જ નથી. કોઈ છોકરાના ભાઈબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી જ નહીં ઊગે તો ઈટ ઈઝ એ ડિફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ, દરેક માણસને દાઢી તો ઊગે જ. કો’કને ના ઊગે એ તો કુદરતનું આશ્ચર્ય છે ! અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, ‘અવશ્ય કમાવાનો છે અને ખોવાનોય છે ? એ બેઉની તારા હાથમાં સત્તા નથી, વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસો એ તો પૂરણ-ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે. લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? પૈસા તો ફ્રી ઑફ કોસ્ટ જ મળ્યા છે. પણ આ લોકો લોભથી (પા.૧૬૦)ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને એટલે ‘હું’ કરું તો મળે, નહીં તો મળે નહીં કહેશે. પ્રશ્નકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે. દાદાશ્રી : હા, પણ જે જાય તેનેય નુકસાની જાય છે ને ! એટલે આ શું કહેવા માંગે છે ? પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વૉટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? એવું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય. એ હું કહેવા માગું છું. આ એક વાક્યમાં ઘણો સાર મુકાયેલો છે પણ સમજે તો. એવું નથી કે મારું જ્ઞાન લેવાની જ જરૂર છે, જ્ઞાન ના લીધું હોય ને, પણ એટલું એને સમજણ પડે કે આ હિસાબસર જ છે, કશું હિસાબથી બહાર થતું નથી, નહીં તો મહેનત કરતાં ખોટ આવે તો આપણે ના સમજીએ ! મહેનત એટલે મહેનત, મળવું જ જોઈએ, પણ ના, ખોટેય નિરાંતે જાય છે ને !! આ ભાવ કરે છે તેનો વાંધો છે, બીજું કશું નહીં. બીજી ક્રિયાઓને માટે મને વાંધો નથી. એટલે વાત આમ લોકો વાંચી જાય, પણ સમજણ ના પડે, એટલે વાંચી જાય, પણ વાત બહુ ઊંડી હોય છે. ભાવ આમ સુધારવોખોટાની પરખ ના હોય ત્યાં સુધી ખોટું પેસી જાય મહીં. પ્રશ્નકર્તા : અને આ ધંધામાં સાચું છે, આપણે સમજીએ છીએ, છતાં સાચું કહી શકાતું નથી. દાદાશ્રી : એટલે વ્યવહાર આપણા તાબામાં નથી. નિશ્ચય આપણા તાબામાં છે. બીજ નાખવું એ આપણા તાબામાં છે. ફળ લેવું આપણા તાબામાં નથી. એટલે ભાવ આપણે કરવો. ખરાબ થઈ જાય તોય ભાવ આપણે સારો કરવો કે આમ ના થવું જોઈએ. (પા.૧૬૧)ધંધામાં હરીફાઈપ્રશ્નકર્તા : હું જ્યારે બીજા કોઈનો ધંધો જોઉં છું, મારી જ જાતનો બીજો કોઈ ધંધો હોય ને મારા કરતાં સો ગણું વેચતો હોય ત્યારે મને વિચારો આવે કે હું પણ આવું વધારું. તે બે-ત્રણ દિવસ ચાલે. તો આ વિચારો આવે છે તે મારો ભરેલો માલ છે, તેથી આવે છે કે બનવાનું છે માટે વિચારો આવે છે ? એ શી રીતે ખબર પડે ? દાદાશ્રી : ના, એ તો બનવાનું હોય તોય વિચારો આવે ને ભરેલો માલ હોય તોય વિચારો આવે. વધારે સમજ પડી ને ? ભરેલો માલ તો એ માલ ખાલી થાય તો આમ જ કશું પરિણામ બદલાય નહીં. આમાં ઉપાધિ કરવાની ને જાય એટલું જ. શું થાય ? પ્રશ્નકર્તા : એટલે બાહ્ય સંજોગોમાં કોઈ ફેરફાર ના થાય ? દાદાશ્રી : બાહ્ય સંજોગોમાં ? પ્રશ્નકર્તા : હા, બાહ્ય સંયોગો જેવા કે છે એવા જ હોય. ભરેલા માલમાં કશો ફેર પડે ? દાદાશ્રી : માલમાં કશો જ ફેરફાર ના થયો હોય. અને વિચાર્યું એટલું જ એણે માથાકૂટ કરી ને નકામી ગઈ. પ્રશ્નકર્તા : ચાર દહાડા આવા વિચારો આવે પણ પછી એવું બનતું નથી. કોઈ એવા સંજોગો, નિમિત્ત કશું ભેગું થતું જ નથી. દાદાશ્રી : વિચારો બધા ખોટા હોય છે, કારણ કે તમને બીજા ધંધાવાળા કોઈ મળે તો વિચાર ના આવે. તમારા પોતાના જ ધંધા જેવો ધંધો હોય ને ત્યારે જ આવું તોફાન ચાલે. અમે ગમે એટલા ધંધા જોઈએ પણ આવો કશો વિચાર ના આવે. પોતાના ધંધા જેવું દેખે ત્યારે, બહુ વિચારો આવે બળ્યા. અમને ય, પહેલાં કંટ્રાક્ટનો ધંધો કરતા હતા ત્યારે, કો’કનું કંટ્રાક્ટનું જોવામાં આવ્યું કે તરત વિચારો બહુ આવે, કારણ કે બીજા ધંધાવાળા જોડે હરીફ નથી. આની જોડે હરીફાઈ છે આપણી, એટલે આ ભાંજગડ છે બધી. (પા.૧૬૨)આગળ વધતાને પછાડેહરીફાઈમાંય કેવી પદ્ધતિ હોય છે, કે કેટલીક નાતો તો પોતાનો છોકરો આગળ વધતો હોય તો વધવા દે અને રક્ષણ આપે. કેટલીક નાતો એવી હોય છે કે પોતાની લેન્થથી ત્રણ છોકરા બરોબરીમાં નજીક ચાલતા હોય અને એક છોકરો પાછળ પડી ગયો હોય તેને પોતે ઊંચકીને લઈ આવે, ભાઈઓ, માબાપ, બધાય ઊંચકીને લાવે ને બધું આપીને લઈ આવે પણ એક ડગલું આગળ ગયો હોય તો બાપ પાછો પાડે, મારીને. એનું કારણ શું ? બાપાથી સહન ના થાય. મારાથી વધ્યો એ, અને પાછળ પડ્યો તેય સહન ના થાય. એ અમુક કોમ્યુનિટીમાં ખાસ મેં જોયેલું. કોઈ બાપ કોઈ છોકરાને વધવા જ ના દે, મારીઠોકીને પાછળ પાડે બિચારાને. પછી મેં શોધખોળ કરી, મેં બધાને કુટુંબમાં કહ્યું કે તમે બધા આગળ વધો અને મને શીંગડાં લઈને મારવા આવો બધા. મારી પાસે શીખીને બધાં. મારી પાસેથી શીખો, વધો ને પછી મને મારવા આવો. એવા થજો. પણ પાછળ ના રહી જશો. બીજા લોકો કોઈને આગળ વધવા ના દે. એ મેં જોયેલું ખાસ. તમારામાંય કેટલાક આગળ વધવા નથી દેતા. મહીં કેટલા અંશે વધવા દે છે, સારી રીતે. અને લોક તો સામાવાળાને મારે એક થપોટ તે પાછો પાડી દે ! અલ્યા, બાપ કરતાં સવાયો નીકળ્યો ? તે આજે મુશ્કેલી બહુ, આ સંસારમાં તો ? પોતાનો અહંકાર શું ના કરે ? બધાંને પાછા પાડી નાખે ? ના પાછો પડે તેને ખોતરીને કાઢી નાખે. અને તમારો સગો ભાઈ જો બહુ અહંકાર કરે ને તમારા બધા જોડે, તો બધા ભેગા થઈને એનું કાટલું કાઢી નાખે. હા, એને તો દુઃખી કરી નાખે ત્યાર વગર સીધો નહીં થાય. સીધો કરવા માટે એને દુઃખી કરી નાખે. શાથી ? બહુ અહંકાર કરે, એટલે બાપેય સહન ના કરી શકે. અહંકાર એટલો નાપાક ગુણ છે કે બાપ પણ સહન ના કરે. ભઈ પણ સહન ના કરી શકે. ભાઈ પણ આશીર્વાદ આપે કે વહેલામાં વહેલી તકે આનું સારું થઈ જાવ. એ અહંકાર તો બહુ મોટી વસ્તુ છે. આપણે જો ભાઈઓને બધામાં વધવું હોય તો નમ્રતા રાખવી જોઈએ. તો જ વધવા દે. નહીં તો મારી મારીને ટેભા કાઢી નાખે. સંસાર છે આ તો ! એક બાજુ અહંકારથી ઊભો થયેલો છે, અહંકાર એટલે વિકલ્પથી. આત્માનો વિકલ્પ એટલે અહંકાર. હું અને મેં કર્યું. બસ ચાલ્યું પછી. પછી માર ખાય છે તોય અહંકાર છોડે નહીં એને, (પા.૧૬૩)કારણ કે ઘડી પછી એને એમ જ લાગે કે મારા આ ચાર બળદ, આ ગાયો-બાયો, આ બધાં કરતું હું મોટો ને ? હું મોટો છું એ ભાન રહે છે, એટલે કશું દુઃખ જ નથી આ લોકોને ! ચક્રવર્તી રાજ આપે તોય લેવા જેવું નથી. પેઠા પછી એ દુઃખ તો પાર વગરનાં છે. એના કરતાં આપણા પોતાના ગામ જતા રહોને, એના જેવું કોઈ સુખ નથી. પોતાના દેશમાં જે સુખ છે એવું કોઈ દેશમાં નથી. ધંધો વધારવો કે નહીં ?પ્રશ્નકર્તા : ધંધાના વિચાર આવે એ જો જો જ કરવાના કે એના માટે પ્રયત્ન કરવાનો ? દાદાશ્રી : પ્રયત્ન થઈ જાય તો જોવાનું આપણે. પ્રયત્ન થતો હોય તો જોયા કરવો, ના થાય તો કંઈ નહીં, આપણે શી રીતે કરીએ પણ તે ? આપણે તો ચંદુભાઈ શું પ્રયત્ન કરે છે, એ જોયા કરવાનું ? પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે. પણ ઘડીએ ઘડીએ વિચારો આવે, મહિના પછી બીજાનું કારખાનું જોવામાં આવે તો પાછા કમાવાના વિચારો શરૂ થઈ જાય. દાદાશ્રી : પાછું ઊગે જ એ તો. પ્રશ્નકર્તા : તો પછી એને સમજવું શું ? દાદાશ્રી : એમાં વાંધો નહીં. ઊગે એટલે આપણે એને જોયા કરવાનું. ઓહોહો, અહીં આવીએ છીએ તો ઊગે છે. અને તે આપણે બંધ કરીએ તોય ના થાય. એ તો ઊગે જ. એટલે પેલું કારખાનું જોયું કે તે ઘડીએ લોભના જ વિચારો આવે અને પછી બીજે, માનની જગ્યાએ જાય ત્યારે માન માટે વિચારો આવે કે કેમ કરીને આમ કરીએ ને તેમ કરીએ એમ આપણને જાય. એટલે એ જગ્યા પ્રમાણે એના વિચાર આવે. પ્રશ્નકર્તા : તો પછી ધંધામાં વધારો કરવાનો પ્રયત્ન ના કરવો. દાદાશ્રી : શું થાય છે, શું પ્રયત્ન કરે છે તે જોયા કરો, એ જો પ્રયત્ન કરતા હોય તોય બરોબર છે, ના કરતા હોય તોય બરોબર છે. (પા.૧૬૪)તમે ચાર માઈલ મુંબઈમાં આમ રહીને આંટા મારો, તોય કશું કામ ના થાય ને એક જ દહાડો અહીંથી આમ એક જ આંટો માર્યો કે તરત કામ થઈ જાય. ત્યારે આંટા મારવાથી કામ થાય છે કે શેનાથી થાય છે ? નહીં જાણવાથી જ આ બધું તોફાન થાય છે. ન્હોય પેલી બેબી રડતી હતી ને બિચારી કહે કે મારી બાનું હવે શું થશે ? મારું શું થશે ? જેને સમજણ ના પડી. એવી રીતે આ જગતના લોકોને બીજી સમજણો નથી પડતી. વચ્ચે ‘એજન્સીઓથી’ કામ લોપ્રશ્નકર્તા : મારે ને મારા ભત્રીજા વચ્ચેના પ્રોબ્લેમની વાત કહું. એને કહીએ કે તું બધો હિસાબ આપ, ત્યારે હિસાબ આપવાની બાબતમાં એ કાચું રાખે. પછી કામ બધું કરે પણ રિપોર્ટ ના આપે એટલે પ્રોબ્લેમ વધી જાય. હવે એને કહીએ તો પાછું એને ખોટું લાગી જાય. દાદાશ્રી : પ્રોબ્લેમ એમાંથી વધી જાય તે ? પછી શું થાય ? પ્રશ્નકર્તા : શું કરવાનું હવે તમે જ કહો ને ! દાદાશ્રી : એવું છે, અમારે કેવું બનેલું તે કહું. અમારો ઓળખાણવાળો અમારે ત્યાં નોકરી કરતો હતો. તે હિસાબ લખવાનો હોય તે બધો ખોટો હિસાબ લખતો હતો. એને ખર્ચના દસ રૂપિયા જોઈએ ને આમ ખર્ચ ચાર આના દેખાડે. એટલે પછી મેં એને કહી દીધું કે, ‘ભઈ, જેટલો ખર્ચ થતો હોય, જે તે કર્યું હોય તે આમ લખજે. સીગારેટ લાવ્યો હોય, બ્રાંડી પીધી હોય તે લખજે, ચા પીધી હોય, લોકોને ચા પાઈ હોય તે લખજે. તને છૂટ આપીએ છીએ. ત્યારે પછી એણે લખવા માંડ્યું ત્યારે વાત પકડાઈ બધી. આ તો ભડકના માર્યા લોક લખે શી રીતે ? હિસાબ બધો ચોખ્ખો લખતા નથી, એનું કારણ શું ? વખતે એ ચોખ્ખું લખે તો સાહેબ ડફળાય ડફળાય કરે કે, ‘એય તેં શું કર્યું, આટલા બધા પૈસા શેમાં વાપર્યા ? આ તો ચાર આનાની અક્કલ તો છે નહીં ને શેઠ થઈ બેઠા છે !! આ તો એન્કરેજ કરતાં આવડે નહીં તે પછી નોકરો ડિસ્કરેજ થઈ જાય. ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ એનું નામ કહેવાય કે કોઈનેય વઢે નહીં. વઢે એને શેઠ કહેવાય જ શી રીતે ? પેલા બધા (પા.૧૬૫)પાછળથી વાત કરે કે આ શેઠ તો આવા છે, એની પાછળ કંઈક નામ આપેલું જ હોય. બધાય નોકરોએ કંઈ ને કંઈ નામ આપેલું જ હોય. આ તો મનમાં માની બેઠા છીએ કે મને સમજણ પડે છે. એના કરતાં મને કશી સમજણ પડતી નથી. તો કશુંય બગડે નહીં. ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ તો કેવા ઠંડા દેખાય ! તે જોઈને જ લોક ખુશ થઈ જાય. શેઠ આવે તો આખું વાતાવરણ જ ઠંડુ થઈ જાય ! અમારે લોખંડનું કારખાનું હતું ને ત્યારે હું જ્યારે કારખાને જતો હતો ને તે સો-એક માણસો ‘બાપા આવ્યા, બાપા આવ્યા’ કરી મૂકે. તે બસ્સો ફૂટ છેટેથી દેખે તોય બધાં ‘બાપા આવ્યા, બાપા આવ્યા’ કરીને ખુશ ખુશ થઈ જવાના. અને કોઈનેય મારે કોઈ દહાડો એક અક્ષરેય બોલવાનો નહીં. હજાર રૂપિયાનું નુકસાન કરેલું દેખું તોય અક્ષર નહીં કહેવાનો. વખતે કોઈએ કશું કામ બગાડ્યું હોય તોય વઢવાનું નહીં. કોઈ પણ બાબતમાં બૂમ પાડવાની નહીં ! શેઠ તો કોઈ દહાડોય કોઈને વઢે નહીં. વખતે વચ્ચે એવી એજન્સી ઊભી કરે. એ વઢનારી એજન્સી વઢે, પણ શેઠ તો વઢે જ નહીં. વચ્ચે એજન્સી તૈયાર કરે કે એ પછી વઢનારો માણસ એવો વચ્ચે રાખે કે વઢનારો વઢે પણ શેઠ આવું જાતે ના વઢે. પછી શેઠ બેઉનાં સમાધાન કરી આપે. શેઠ બેઉને બોલાવે કે, ‘ભઈ, તું વઢું છું તે પણ વાત સાચી છે ને તારી વાત પણ સાચી છે. એટલે એવો નિકાલ કરી આપે. બાકી શેઠ કંઈ વઢતા હશે ?!! આ બધી વ્યવહારની વાતો ! તમારે આમાં શું કામ લાગે ? પ્રશ્નકર્તા : અરે આ તો અમને વિચારતા કરી મૂક્યા કે આપણે વઢીએ તે વખતે આપણે શેઠ નથી. દાદાશ્રી : શેઠ તો કોનું નામ કહેવાય કે એક અક્ષરેય બોલે ને તો શેઠ કહેવાય જ કેમ કરીને ? એ વઢતા હોય તો આપણે સમજી જઈએ કે આ પોતે જ આસિસ્ટન્ટ છે (!) શેઠનું તો મોઢું બગડેલું જ ના દેખાય. શેઠ એટલે શેઠ જ દેખાય. એ દાંતિયા કરે તો તો પછી બધા આગળ એની કિંમત જ શું રહે ? પછી નોકરો પણ પાછળ કહેશે કે આ શેઠ તો લપકા (પા.૧૬૬)બહુ કર્યા કરે છે ! દાંતિયા કાઢ્યા કરે છે !! બળ્યું એવા શેઠ થવું એના કરતાં તો ગુલામ થવું સારું. હા, તમારે જરૂર હોય, ખટપટ કરવી હોય તો વચ્ચે એજન્સીઓ બધી રાખો. પણ વઢવાનાં આવાં કામ શેઠે જાતે ના કરાય ! નોકરોય જાતે લઢે, ખેડૂતોય જાતે લઢે, તમેય જાતે લઢો, ત્યારે કોણ જાતે લઢે નહીં ? વેપારી જાતે લઢે, ખેડૂત જાતે લઢે તો વેપારી જેવું રહ્યું જ શું ? શેઠ તો એવું ના કરે. તમારો ભત્રીજો શું જાણે કે કાકાનો સ્વભાવ જ આવો વાંકો છે. અને તમે શું જાણો કે આ ભત્રીજો તારી વાતને સમજતો નથી. આવી રીતે પછી કેસ બફાતો ચાલ્યા કરે છે ! હવે જો કદી એ કાકાનો સ્વભાવ આવો છે એવું જો ના સમજે તો તો તમારી વાત ધ્યાનમાં લે. પણ આ તો વાતને ધ્યાનમાં લેતો નથી એનો અર્થ જ એ થયો કે એક તમારો સ્વભાવ આવો જ છે. આ તો એવું માની લે. કારણ કે રોજ રોજ સ્વભાવ એવો દેખે, એટલે પછી ‘આમનો સ્વભાવ જ એવો છે’ કરીને કેસ બફાયા છે. માટે ઉપાય કરો. વચ્ચે એજન્સીઓ રાખીએ અને પેલા ભત્રીજાને વઢે ત્યારે ભત્રીજો આપની પાસે ફરિયાદ લાવે કે, આ મારી જોડે બહુ લઢે છે. ત્યારે આપણે એને કહેવું કે, ‘ભઈ, કામ તો બધું બતાવવું જ જોઈએને ! હિસાબ તો બધા આપવા પડે ને ! આવું કહીએ ત્યારે ભત્રીજો તમારી વાત માને. બાકી વઢવાનું બંધ કરી દો તોય ધીમે ધીમે એની જોડે બધું રાગે પડી જાય. આમ ન્યાય થાય૧૯૩૦ સુધી મંદી હતી. ૧૯૩૦માં મોટામાં મોટી મંદી હતી. એ મંદીમાં શેઠિયાઓએ આ મજૂરો બિચારાનાં બહુ લોહી ચૂસેલાં તે અત્યારે આ તેજીમાં મજૂરો શેઠિયાઓનાં લોહી ચૂસે છે ! એવો આ દુનિયાનો ચૂસાચૂસનો રિવાજ છે ! મંદીમાં શેઠિયાઓ ચૂસે અને તેજીમાં મજૂરો ચૂસે ! બેઉના સામસામા વારા આવવાના. એટલે આ શેઠિયાઓ બૂમ પાડે ત્યારે હું કહું છું ે કે તમે ૧૯૩૦માં એ મજૂરોને છોડ્યા નથી તેથી હમણાં એ મજૂરો તમને છોડશે નહીં. ઘરમાંય તેજીમંદી આવે તે મંદીમાં આપણે વહુ જોડે રોફ માર માર (પા.૧૬૭)કર્યો હોય પછી તેજી આવે ત્યારે એ આપણી પર રોફ મારે. માટે તેજી-મંદીમાં સરખાં રહીએ, સમાનપૂર્વક રહીએ તો તમારું બધું સરસ ચાલે ! મજૂરોના લોહી ચૂસવાની પદ્ધતિ જ ના રાખો. તો તમને કોઈ કશું નામ નહીં દે. અરે ભયંકર કળિયુગમાં પણ તમારું નામ દેનાર નથી !!! આ જગત ન્યાય વગર એક ક્ષણવાર પણ નથી રહેતું. ક્ષણે-ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે ! જગત એક ક્ષણ પણ અન્યાય સહન કરી શકતું નથી, જે અન્યાય કર્યો છે, એ પણ ન્યાય જ થઈ રહ્યો છે ! લક્ષ્મી, પુણ્યથી ?મેં દુનિયામાં ખેલ જોવામાં જ વખત કાઢ્યો છે. બીજું આમાં શું વખત કાઢવાનો ? કમાવાનું, તો હાય, હાય, પૈસો ! એ તો આ પુણ્ય હશે ત્યાં સુધી રાગે પડશે. નહીં તો મહેનત કરી કરીને મરી જશો ને, આ મજૂરો મહેનત કરે જ છે ને, તોય કશું મળતું નથી. આ મજૂરો તો આખો દહાડો મહેનત કરે પછી શેઠ શું કહેશે, ‘આજે છૂટા નથી. તારી પાસે સોના છૂટા હોય તો લઈ આવ.’ ત્યારે બિચારાને સોના છૂટા કોણ આપે ? અને એટલે પૈસા પેલો ના આપે. તે પૈસા વગર તો બિચારો ઘી-તેલ ક્યાંથી લાવે ? અરે, ઘી તો ખાય નહીં પણ તેલ ને ચપટી પેલો મસાલો લઈ જવાનું હોય તે પૈસા વગર શી રીતે લઈ જાય. તે પાછો જાય, વીલે મોઢે બિચારો ! અને મજૂરથી ગાળ તો બોલાય નહીં ને શેઠ તો પૈસા ના આપે. અને તોય ટૈડકાવે. અલ્યા, આખો દહાડો નોકરી કરી, મહેનત કરી તોય રોકડા મળતા નથી. આ હિસાબ શેનો છે ? અને તમે નોકરીમાં રજા લો તોય પગાર મળ્યા કરે ને ! એટલે આ લક્ષ્મી તો પુણ્યનું ફળ છે. લક્ષ્મીનો સ્વભાવ જ વિયોગી છે, એ કહેશે મારે હવે સાધન આઠ પેઢી સુધી રહે તો સારું, પણ એનો સ્વભાવ જ વિયોગી એટલે આપણે કહેવું કે તું જા એવી અમારી ઇચ્છા નથી. તું અહીં રહે. પણ છતાંય તારે જવું હોય તો મારી ના નથી. એવું કહીએ ને એટલે એને એમ ના થાય કે આ અમારી આમને પરવા જ નથી. ‘અમને તારી પરવા દસ વખત (પા.૧૬૮)છે. પણ જો તારાથી ના રહેવાય, તો તારી મરજીની વાત છે.’ ના રહેવું હોય ત્યારે કંઈ એને માબાપ કહેવાય ? આ તો મા-બાપ હોય તેને મા-બાપ કહીએ. ધંધાની ખોટ ધંધો જ પૂરેપ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું છે. દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઈ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ન વળે, ‘કોન્ટ્રાક્ટ’ની ખોટ કંઈ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા ઝાય, ત્યાં જ એની દવા હોય. આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઈ જીવને કિચિંત્ માત્ર દુઃખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે થઈ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. માટે કોઈની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઈએ. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવો જોઈએ કે મારે પાઈએ પાઈ ચૂકવી દેવી છે. ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. પણ ખેલાડી ના થશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ ! ખોરી દાનત, દુઃખી હાલતપ્રશ્નકર્તા : માણસની દાનત કેમ ખરાબ થાય છે ? દાદાશ્રી : સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં ને ? બધાંની જો સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં. સ્વર્ગ જ કહેવાય ને ! તો પાલખી ઊંચકનારાય ના હોય ને પાલખીમાં બેસનારાય ના હોય. ખરાબ દાનત છે તે પાલખી ઊંચકે છે. તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : પણ દાનત ખરાબ કેમ થાય છે એ સવાલ છે ? દાદાશ્રી : બરોબર છે. પહેલી આ સામાન્ય ભાવે જ વાત કરવી જોઈએને ? પછી પર્સનલ વાત. (પા.૧૬૯)જેને આપણે પાંચ હજાર રૂપિયા આપ્યા, હવે તેની દાનત ખરાબ થાય. એટલે આપણે પછી શું કરવાનું ? પ્રશ્નકર્તા : પછી તો કાયદો સંભાળે. કાયદામાં જે રીતે થતું હોય એ રીતે કરવું પડે. દાદાશ્રી : હા, કાયદાથી જેટલું બને એટલું કર્યું, છતાં હાથમાં ના આવે તો શું કરવું ? પ્રશ્નકર્તા : છોડી દેવું પડે ? દાદાશ્રી : આપણે એટલું સમજી જવું કે આ માણસની દાનત, નૈયત ફરી છે. એટલે આ માણસ ભવિષ્યમાં બહુ દુઃખી થવાનો છે. એટલે એની ઉપર આપણે ભગવાનને કહેવું કે ભગવાન એને સદ્બુદ્ધિ આપ. એ માણસ બહુ દુઃખી થશે અને જેની દાનત ફરી નથી એ સુખી થવાનો છે. તમને કયું ગમે છે ? જેની દાનત નથી ફરી એ સુખી થવાનો છે. એટલે આપણે સમજી જવું કે આની દાનત ફરી તો આ દુઃખી થવાના છે. હવે જો બધાં ય ની દાનત ના ફરે તો કોણ સુખી થાય ? એટલે અહીં ખાડો હોય તો અહીં ટેકરો કહેવાય. પછી ખાડો જ ના હોય તો લેવલ લેન્ડ થાય. પ્રશ્નકર્તા : હવે માણસની દાનત કયા કારણથી ખરાબ થાય છે ? દાદાશ્રી : એનું ખરાબ થવાનું હોય ત્યારે એને ફોર્સ મારે કે તું આમ કરી જાને, હઉ થશે. એનું ખરાબ થવાનું માટે. ‘કમિંગ ઈવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર.’ (જે બનવાનું છે, તેના પડછાયા પહેલાં પડે.) પ્રશ્નકર્તા : પણ એ રોકી શકે ખરો ? દાદાશ્રી : હા, રોકી શકે એને. જો એને જ્ઞાન મળેલું હોય કે તારે ખરાબ વિચાર આવે તોય પાછળ પશ્ચાતાપ કર. તે આમ કરે, કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળ-ગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી. તો ફેરવી શકે છે. સમજ પડીને ? કંઈ ખુલાસો થાય છે ? (પા.૧૭૦)પ્રશ્નકર્તા : ઇચ્છાઓને લીધે દાનત ના બગડે ? દાદાશ્રી : શેની ઇચ્છાઓ ? પ્રશ્નકર્તા : એને ઇચ્છા થાય કે આ ભોગવી લેવું છે. એટલે હરામના પૈસા પડાવી લે, એમ ? દાદાશ્રી : દાનત બગાડવી એટલે પાંચ લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો પચીસ રૂપિયા માટે હઉ દાનત બગાડે બળી ! એટલે ભોગવવાની ઇચ્છાની ભાંજગડ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે ? આપવા કરતાં તો આપણે અહીં જ વાપરો. હઉ થશે. દેખ લેંગે. એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને. ભાવ, દેવું ચૂકવવાનો જએટલે આપણે અત્યારે કોઈપણ માણસને એમ કહી શકીએ કે ભઈ, ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તોય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે. કારણ કે પૈસો કોને વહાલો ના હોય ? એ કહો. કોને ના વહાલો હોય ? દરેકને, પોતાના છોકરાને રૂપિયાનું ચવાણું લાવી આપતા અને પેલાને પાંચ હજાર રૂપિયા ધીરે છે. એટલે પૈસો સહુને વહાલો હોય. એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમ્મે તે ભોગે મારે આપવા જ છે. એવું ડિસિઝન પહેલેથી રાખવું જ જોઈએ. આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ. કારણ કે પૈસા તો દુઃખદાયી છે, પૈસો તો, એને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનો પૈસો ડુબાડાય નહીં. એ મોટામાં મોટી વસ્તુ. એમ માનો કે કોઈ સાહેબ મુંબઈ ગયા ને કંઈ સોદો કર્યો. સાહેબ રિટાયર્ડ થયા ને મોટો સોદો કર્યો. કમાવાની લાલચો તો હોય ને ? અને એમાં કંઈ બે-ત્રણ લાખ રૂપિયાની ખોટ ગઈ એટલે શું હાથ ઊંચા કરી દેવા ? આવડી નાની ઓરડી રાખીને કહીએ કે આપણે રૂપિયા પાછા વાળવા જ છે, એમ નક્કી કરીએ ને તો વરસે બે વરસે પાછું રાગે પડી જાય, આત્માની અનંત શકિતઓ છે. (પા.૧૭૧)આજકાલ તો દસ-વીસ લાખ રૂપિયા દાબી અને પછી પૂળો (દેવાળું ફૂંકે) મૂકે છે. બહુ ખોટું કહેવાય. અનંત અવતાર ખરાબ કર્યા, કોઈનોય પૈસો ના દબાવાય. તમે ઓફિસમાં પૈસા ‘ના લીધા’ તે ફાયદો થયો ને ? તેથી આ દાદા ભેગા થયા. નહીં તો શી રીતે આ દાદા ભેગા થાય ? અત્યારે તો મોઢું કાળું ચંદ પડી ગયું હોય ! શું થયું હોય ? પ્રશ્નકર્તા : મોઢું કાળું ચંદ પડી ગયું હોય. દાદાશ્રી : હા, તેજ બેજ બધું જતું રહે કે ના જતું રહે ? દેવા સાથે મરે તો ?પ્રશ્નકર્તા : માણસ દેવું મૂકીને મરી જાય તો શું થાય ? દાદાશ્રી : દેવું મૂકીને મરી જાય તો ? દેવું મૂકીને મરી જાય પણ એને મનમાં ઠેઠ સુધી - મરતાં સુધી એક વસ્તુ નક્કી હોવી જોઈએ કે મારે આ પૈસા આપવા જ જોઈએ. શું ? આ ભવમાં નહીં પણ આવતા ભવે પણ મારે આપવા, જરૂર આપવા જ છે. એવો ભાવ છે, એને વાંધો નથી આવતો અને કેટલાક કહે છે, શું આપવું-લેવું છે ? કોણ પૂછનાર છે ? ત્યારે એવું ત્યાં આગળ ! આપણે અહીં શેઠિયાઓ દસ-વીસ લાખ દબાવીને જ બેસી જવાના. તમને ખબર નહીં હોય કોઈ દબાવે છે એવું ? પ્રશ્નકર્તા : ખબર છે ને દાદા. દાદાશ્રી : હા, એના કરતાં નોકરિયાતને હારુ કે કોઈ તો દબાવે નહીં જ ભાંજગડ નહીં. ...તો દેવું ચૂકવાયઅને તોય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને લેવાય. ત્યાર પછી ચાર ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં (પા.૧૭૨)વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા. રૂપિયા-બુપિયા અપાય નહીં. આ તો બધાં જે દેવાં કરે છે ને તે જે ઉઘરાણીએ આવ્યો તે લઈ ગયો. ત્યારે બીજાના લઈ આવ્યા. આ એકના દસ હજાર લે છે, બીજાને પાંચ હજાર આપી દે છે. પાછા બીજાના લે છે ને બીજાને આપી દે છે. એમ તેમ કરીને ચક્કર, ચક્કર ચલાવે છે. છેવટે પોક મેલે છે. ભાવિમાં તો છે અંધકારઅને અત્યારે આ લક્ષ્મી તો રહેવાની નથી. બે-પાંચ વર્ષમાં તો મોટા મોટા શેઠિયાઓ બૂમો પાડશે, ‘હું’ ખાલી થઈ ગયો છું.’ માટે અલ્યા, પહેલેથી પાંસરું મરવું ’તું ને ? પાંસરો રહ્યો હોત તો બહુ સારું થાત ! સારે રસ્તે પૈસો ગયો નથી, એ બધું ગટરમાં ગયું હડહડાટ ! હેય, નિરાંતે વાંદરાની ખાડીમાં ! લોકો તો આ પાઈપમાં નાખ્યા જ કરે છે. એટલે ‘અમે’ મહાત્માઓને કહ્યું છે, નિર્ભય રહેજો ! નિર્ભય રહેવું જોઈએ કે નહીં ? નહીં તો ભયસ્થાનો જ છે ને ! ભયસ્થાનો જ છે ને બધું ! અત્યારે શાથી બચ્યા છે ? કંઈ પણ ધોરણ છે આપણી પાસે, નીતિ છે, ધર્મના માટે ભાવ છે એટલે આ કંઈ નિયમમાં રહ્યું છે તો પાર પડશે. ‘દાદા ભગવાન’નું આ વિજ્ઞાન છે. એ કંઈ તમને ઉખેડી નહીં નાખે. બાકી બહાર તો તમે જોશોને, તો કુદરત લોકોને ઉખેડી નાખશે. અને તેમાં મોટા મોટા વડ તો પડશે, કબીર વડ જેવા નીચે પડશે. પણ જોડે કેટલાંય જીવડાં બફાઈ જશે, નર્યાં ! કોઈ કહેશે હું વીસ હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, હું એંસી હજાર મૂકી આવ્યો હતો, મારા ગયા. પેલો કહેશે, લાખ મૂકી આવ્યો હતો, તે ગયા. આ તો મોટાં ઝાડો પડે ત્યારે જાય. બે ટકા લેવા કર્યા હતા ને ‘કંઈ એમ ને એમ ઓછા આપી આવ્યા’તા ? આ તો આપણું જ્ઞાન છે ને, એટલે બહુ સારું થઈ ગયું છે. ખોટું થાય તોય ડંખ્યા જ કરે. બેનો ડિફરન્સ આટલો કે પેલા ખોટું કરે છે ને ઉપરથી રાજી થાય છે કે મેં કેવા મૂરખ બનાવ્યા લોકોને અને આ ડંખ્યા કરે. આપણા મહાત્માઓને ખોટું થાય પછી ડંખ્યા કરે તે, કે ના ડંખે ? (પા.૧૭૩)પ્રશ્નકર્તા : ડંખે. દાદાશ્રી : એનું નામ મહાત્મા. ખોટું કરે ત્યારે મહીં ડંખ્યા કરે એને. ખોટું કરે ને રાજી થાય એ પેલા ! હિસાબ જડે ભાવ પરથીપ્રશ્નકર્તા : ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને ? ભાવ જ બગડી ગયો હોય તો પાછા શી રીતે અપાય ? દાદાશ્રી : એ ભાવ ચોખ્ખો નથી એના ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછા અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો. આપણને અડચણ હોય તો આપણે આટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ? તો ચોક્કસ અપાશે, પછી ચિંતા કરવા જેવું નથી. આપણે કોઈના રૂપિયા લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી અપાશે, પછી એના માટે ચિંતા વરીઝ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં, એટલું જ જોવાનું, આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે. ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો ? ત્યારે કહે કે, ‘આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !’ એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય. પ્રશ્નકર્તા : આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું ? દાદાશ્રી : એને ફરી પૈસા દેખાય નહીં, રૂપિયો એના હાથમાં અડે નહીં પછી. આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે (પા.૧૭૪)ભાવ ના બગડવો જોઈએ, તો જરૂર એક દહાડો તમારી પાસે રૂપિયા આવશે, ને દેવું ચૂકવાશે ! ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગેય હાથમાં આવવાનો નહીં. આ છેલ્લામાં છેલ્લું ‘સ્ટેન્ડ’ છે, હવે આગળ ‘સ્ટેન્ડ’ નથી. પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી, રાગ-દ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે, ભઈ, પાંચસો પૂરા માગતો હોય તો ‘પાંચસો પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં !’ અમે તો શું કહીએ છીએ કે, એનો નિકાલ કરજો, પચાસ આપીનેય તું નિકાલ કરજે. અને કહીએ કે, ‘તું ખુશ છે ને ?’ ત્યારે એ કહે કે, ‘હા, હું ખુશ છું.’ એટલે નિકાલ થઈ ગયો. જ્યાં જ્યાં તમે રાગ-દ્વેષ કર્યા હોય, એ રાગ-દ્વેષ તમને પાછા મળશે. કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે. જન્મ્યા ત્યારથી મરણ સુધી બધું ફરજ્યિાત છે. આ તો છે એકસ્ટ્રા આઈટમએક માગતાવાળો એક જણને પજવો હતો, તે મને કહેવા આવ્યો કે, ‘આ માગતાવાળો મને ગાળો ખૂબ દેતો હતો.’ મેં કહ્યું, ‘એ આવે ત્યારે મને બોલાવજે.’ પછી પેલો માગતાવાળો આવ્યો, ત્યારે મને એનો છોકરો બોલાવવા આવ્યો. હું એને ઘેર ગયો. હું બહાર બેઠો ને પેલો માગતાવાળો અંદર પેલાને બોલતો હતો, ‘તમે આવી નાલાયકી કરો છો ? આ તો બદમાશી કહેવાય.’ આમતેમ બહુ ગાળો દેવા માંડ્યો, એટલે પછી મેં અંદર જઈને કહ્યું, ‘તમે માગતાવાળા છો ને ?’ ત્યારે કહે, ‘હા, હું માગતાવાળો છું.’ મેં કહ્યું, ‘અને આ આપનારા છે. તમારે બેનું એગ્રીમેન્ટ છે. આમણે આપવાનું એગ્રીમેન્ટ (કરાર) કર્યું છે ને તમે લેવાનું એગ્રીમેન્ટ કર્યું છે. અને આ ગાળો તમે દો છો તે એકસ્ટ્રા આઈટમ (વધારાની વસ્તુ) છે, એનું પેમેન્ટ (ચૂકતે) કરવું પડશે. ગાળો દેવાની શરત કરારમાં નથી કરી. ગાળે ચાલીસ રૂપિયા કપાશે. વિનયની બહાર બોલ્યા તો તે ‘એકસ્ટ્રા (પા.૧૭૫)આઈટમ’ થઈ કહેવાય, કારણ કે તું કરારની બહાર ચાલ્યો છે.’ આવું કહીએ એટલે એ ચોક્કસ પાંસરો થાય અને ફરી આવી ગાળો ના ભાંડે ને અમે તો આવડું આવડું આપીએ કે એનાથી સામું ના બોલાય ને એ પાંસરો થાય. અમે તો આ દેહ છે ને તે સટ્ટામાં મૂકેલો છે. જેણે સટ્ટામાં મૂકેલો હોય એને ભો હોય કશો ? અમે આવડું આવડું આપીએ, પણ એ એના હિતને માટે હોય. અમારું પોતાનું હિત તો થઈ ગયેલું છે, સર્વસ્વ હિત થઈ ગયેલું છે. તે તમારા હિતના માટે કહેવું પડે. પછી માગવાવાળો પાંસરો ચાલે ને ? એને સમજણ નથી કે આ ગાળો એટલે શું ? એ ‘એકસ્ટ્રા આઈટમ’ ના પૈસા આપવા પડે ! કારણ કે એક્સ્ટ્રા બોલ્યો કેમ તું ? દેખે ભૂલ પોતાની જએક વણિકને ત્યાં બ્રાહ્મણ ચારસો રૂપિયા માગતો હતો, તે જપ્તી કરવા ગયો એટલે વણિક તો ચિડાયો ‘સાલા નાલાયક’ એમ બોલતો જાય અને પછી પાછો કહે, ‘મારા જેવો કોઈ નાલાયક જ નથી ને !’ અલ્યા તું પોતાને ગાળો દે છે ? પાછો પેલાને એટલી બધી ગાળો દીધી અને બોલે પાછો શું ? ‘મારા જેવો નાલાયક નથી.’ રૂપિયા ના આપ્યા ત્યારે આ દશા થઈ ને ! એવું કહે અને પાછો પેલાને નાલાયક કહે ! અલ્યા, આ કઈ જાતના છો ? આ તો જાત જાતની ખોપરી છે. હવે એ પેલાને નાલાયક કહે, પછી પોતાનું આવું બોલે, એટલે પછી આપણને હસવું જ આવે ને ? માટે આ જગતને તો કેમ પહોંચી વળાય ? એટલે આપણે તો શું કહ્યું કે, ‘ભોગવે તેની ભૂલ.’ આપણી ભૂલ છે એવું ક્યારે માલમ પડશે કે જ્યારે આપણને ભોગવવાનું થશે ત્યારે. એ સહેલો રસ્તો છે ને ? એક ભાઈએ તમને અઢીસો રૂપિયા આપ્યા નહીં ને તમારા અઢીસો રૂપિયા ગયાં, તેમાં ભૂલ કોની ? તમારી જ ને ? ભોગવે તેની ભૂલ. આ જ્ઞાનથી ધર્મ થશે, એટલે સામા પર આરોપ કરવાનો, કષાય કરવાનું બધું છૂટી જશે. એટલે આ ‘ભોગવે તેની ભૂલ’ એ તો મોક્ષે લઈ જાય એવું (પા.૧૭૬)છે ! આ તો એક્ઝેક્ટ નીકળેલું ને કે ‘ભોગવે તેની ભૂલ.’ જ્ઞાન પૂર્વેની ભૂમિકાપ્રશ્નકર્તા : આ જ્ઞાન ઉત્પન્ન થયું તે પહેલાં તમારી ભૂમિકા ઘણી તૈયાર થઈ ગઈ હશે ને ? દાદાશ્રી : ભૂમિકામાં કશું આવડતું ન હતું. જો આવડતું નહોતું તે મેટ્રિક નાપાસ થઈને પડી રહ્યા. બધામાં મારી ભૂમિકામાં એક ચારિત્ર્યબળ ઊંચું હતું એટલે મેં જોયેલું, છતાંય ચોરીઓ કરેલી. આ ખેતરમાંથી, બોરાં-બોરાં થાય ને છોકરાઓ જોડે જઈએ. તો આંબો કો’કનો ને કેરી આપણે લઈએ, તે ચોરી ના કહેવાય ? તે નાનપણમાં બધાં છોકરાં કેરીઓ ખાવા જાય તે જોડે જોડે જઈએ. ને હું ખઉં ખરો પણ ઘેર ના લઈ જઉં. ચારિત્ર સારું એટલું જાણું. ને બીજું, ધંધો કરું છું ત્યારથી મને એમ ખબર નથી કે મેં મારા પોતાના માટે, ધંધા સંબંધી વિચાર કર્યો હોય, અમારો ધંધો ચાલતો હોય તે ચાલ્યા કરે, પણ તમે અત્યારે ત્યાં આવ્યા તે તમને પહેલામાં પહેલું પૂછું કે તમારે કેમનું ચાલે છે ? તમારી શી અડચણ છે ? એટલે તમારું સમાધાન કરું તે પછી આ ભાઈ આવ્યા તે એમને કહું કે તમારે કેમનું ચાલે છે ? એટલે બધી લોકોની અડચણમાં જ પડેલો. આ જ ધંધો મેં આખી જિંદગી કરેલો. કશો ધંધો જ નથી કર્યો કોઈ દહાડોય. ફક્ત ધંધો આવડે બહુ. હવે પેલાને ચાર મહિના જાય પછી ગૂંચા ગૂંચા કરતો હોય, તો હું એક દહાડામાં ઉકેલ લાવી આપું. કારણ કે કોઈનુંય દુઃખ મારાથી સહન ના થાય. અરે, નોકરી હજુ નથી મળતી ? તે છેવટે ચિઠ્ઠી લખી આપું. આમ કરી આપું તેમ કરી આપું પણ રાગે પાડી દઉં. આમ આડે દહાડે ના બોલું, પણ ચિઠ્ઠી લખતી વખતે મોટાભાઈ, મોટાભાઈ લખું. પ્રશ્નકર્તા : એ સારું કર્યું. દાદાશ્રી : પણ એવું કર્યું. બસ એટલે જ બીજું કશું જિંદગીમાં નથી કર્યું. (પા.૧૭૭)મારા ધંધા સંબંધી વાત મેં કોઈને કરી નથી. ધંધા સંબંધી મેં ધ્યાનેય નથી આપ્યું. હું તો લોકોને કેમ કરીને સુખ થાય, કેમ અડચણો તૂટે, સર્વિસ ના હોય તેને ચિઠ્ઠી લખી આપું. અને પેલાને નોકરી ના મળતી હોય ને તો અમારે ત્યાં મુંબઈ મોકલી દઉં. બધાને મુંબઈ મોકલ મોકલ કરેલા. માથે પગાર પડતો હોય તોય. અમારા ભાગીદાર કહે કે, ‘હા ભાઈ મોકલી દો.’ પ્રશ્નકર્તા : કો’કને પાંચ આપીને છૂટી જવું. એ વ્યાવહારિક દ્રષ્ટિ સાચી છે, પણ ભગવાનની દ્રષ્ટિએ સાચું નથી. દાદાશ્રી : ના, ભગવાન તો મારા પર બહુ રાજી. કારણ કે જે આવ્યો તે, એના દુઃખને બંધ કરેલું એટલે ભગવાન તો બહુ રાજી. મારે ઘેર કોઈ આવ્યો હોય ને, એની પાછળ, તેમાં એય રસથી પડેલો, હુંય રસથી પડેલો. અહંકારનો રસ મનેય ખરો ને એમનેય ખરો. તેય અહંકારનો રસ ચૂસવા માટે, બાકી આ કંઈ લોકોને નોકરી આપવા માટે નહોતા કરતા ! માન લેતા ને સલાહ આપતાઅને હું લોકોને ખોટી સલાહ આપતો હતો. તે પાછલે બારણે રહીને કાઢી મેલેલા તે ! ગુનેગારોને છટકબારી આપવી હોય, ઈન્કમટેક્સમાં બિચારા તો હું સલાહ આપું કે એ છૂટી જાય. પણ તે પાછલે બારણે રહીને કાઢી મૂક્યા બરાબર એ પછી મને સમજાયેલું કે આ પાછલે બારણે રહીને કાઢી મેલ્યા ! મારી પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને પાછલે બારણેથી આ માણસ છૂટા કર્યા અને પાછું ઈન્કમટેક્સ આગળ કેવી રીતે છૂટી જવું તે ય દેખાડેલું. પાછલે બારણે રહીને કાઢી મેલેલા. આગલે બારણેથી નહીં, પાછલે બારણેથી ! કારણ કે મને શું લાભ થયો એની પ્રત્યે ? મને માન આપે છે. હું માન ભૂખ્યો હતો. માન ભૂખ્યો નહીં પણ ભિખારી ! જેમ ભિખારી ભીખ માંગ્યા કરે ને, એવી રીતે માન માટે ! આ જ્ઞાન થયા પહેલાંની વાત કરું છું ત્યારે મારો ‘દિમાગ’ જરા સારો ચાલે. એટલે લોકોને સલાહ આપવાની સિસ્ટમ હતી ! એટલે સલાહ આપવા બેસી (પા.૧૭૮)જવાનું બહુ અને પેલા લોકો માનનું પીરસેય ખરા, અને આપણે જમીએય ખરા !! એ મને કહેશે, ‘મારે તો એવું થઈ ગયું આવું થઈ ગયું છે,’ એટલે આપણે એને કહીએ ‘પેલા બારણે રહીને નીકળી જા ને, એની મેળે હઉં થશે’ તે પાછલું બારણું દેખાડીએ. બેક-ડોર ! હા, આવા કેટલાય ગુના થયેલા હોય. અમારે કંઈ વકીલાત હતી ? વકીલો પૈસા હારુ કરે, અમે માન હારુ કરતા. બધું એકનું એક જ છે ને ? બધી વકીલાત જ છે ને ? એક માણસ બીજા માણસને મારતો હોય એમાં પેલા મારનાર માણસને સમજાવટ કરીને જો કદી પાછો પાડવામાં આવે, એનું નામ બીજા ઉપર બચાવ્યાનો ઉપકાર કરવો. એટલે આને પણ નુકસાન ના થાય ને પેલાને પણ નુકસાન ના થાય ને, એવી રીતે છૂટે. પછી આની ફી લઈએ અને બીજાની ફી ના લઈએ એ કંઈ બચાવ્યો કહેવાય ? અને જે મદદ માંગવા આવ્યો ને, ચોરેય મદદ માંગવા આવ્યો તો ચોરને મદદ આપેલી. હા દાદા, તમે મારું તો કામ કાઢી નાખ્યું, એવું કહે પછી. બસ આટલું જોઈએ. પ્રશ્નકર્તા : માન ! દાદાશ્રી : આટલો અહં પોષે એટલે બધું એનું કામ થઈ ગયું. જવાબદારી બધી લઈએ. એ તો જાણે ને કે ભગવાન જેવા છે. આ તો મારા દુઃખને હારુ એ બધું કરેલું, એવું સમજે. પોતે પોતાને માટે કંઈ નહોતાં કરતાં. આટલો અહંકાર તો હોવો જ જોઈએ. નહીં તો સારું કામ કરે જ નહીં કોઈ. અને તે મનેય અહંકાર હતો તેથી કરતો હતો. બહુ ભારે અહંકાર. એક દહાડો અંબાલાલભાઈ કહે ને બીજે દહાડે અંબાલાલ બોલે તો આખી રાત ઊંઘ ના આવે. મને એવો બધો અહંકાર. ગાંડો અહંકાર તેમાં મૂડી વગરનો અહંકાર. મૂડી ખૂટેલી નહીં કોઈ દહાડોય. પ્રશ્નકર્તા : પોતાના કેરેક્ટરનો અહંકાર હોવો જોઈએ. દાદાશ્રી : હા, એ હોવો જોઈએ. લક્ષ્મીનો અહંકાર ખોટો છે. લક્ષ્મી (પા.૧૭૯)તો આવે ને જાય એ તો કંઈ ઠેકાણું નહીં. ‘દાદા’ની હાજરી, એ જ શ્રીમંતાઈએટલે મારે પોતાને માટે મેં ધંધો કર્યો નથી, કોઈ દહાડોય. પ્રશ્નકર્તા : પણ તમે જ્યારે આ કોન્ટ્રાક્ટનું કરતા હતા, ત્યારે તો તમારા માટે જ કર્યું ને ? દાદાશ્રી : મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો’તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, ‘તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ એટલું જ કામ લેતા હતા મારી પાસે. પ્રશ્નકર્તા : પણ તો એનીય ગણતરી તો હોય ને ભાગીદારની ? કંઈક મેળવવાની ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ? દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ? એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડોય. પ્રશ્નકર્તા : આ સુરતમાં જ્ઞાન થયું એ પહેલાંની વાત છે ? દાદાશ્રી : હા, પહેલાંની વાત છે. પ્રશ્નકર્તા : એ નથી સમજાય એવું. દાદાશ્રી : એ તો કોઈ કહે ને ? કે આપનાં પગલાં આવાં છે, કોઈને નથી કહેતા ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એવું લઈને અમે આવ્યા છીએ. (પા.૧૮૦)ન કદી મતભેદ ભાગીદાર જોડેઅમે ચાલીસ વર્ષથી ભાગીદાર જોડે ધંધો કર્યો પણ એક મતભેદ નથી પડ્યો. એક સેકન્ડેય મને મતભેદ નથી પડ્યો. પ્રશ્નકર્તા : એ આશ્ચર્ય કહેવાય. નહીં તો ભાગીદાર હોય એટલે કંઈક ને કંઈક, કો’ક ફેરો... દાદાશ્રી : ના, એક સેકન્ડેય મતભેદ નથી પડ્યો. આવું હોય પછી મતભેદ ક્યાંથી ?હું ધંધો કરતો હતો તેમાં મારો એક કાયદો અમારા ભાગીદાર જોડે નક્કી કરેલો. હું નોકરી કરતો હોઉં તે ટાઈમે જેટલો પગાર મળે એટલા પૈસા ઘેર મોકલવા. એથી વધારે મોકલવા નહીં. એટલે એ પૈસા તદ્દન સાચા જ હોય. બીજા પૈસા અહીં ધંધામાં જ રહેવાના, પેઢીમાં. ત્યારે એ મને કહે છે, ‘એને શું કરવાના પછી ?’ ત્યારે મેં કહ્યું, ઈન્કમટેક્સવાળો કહે, ‘દોઢ લાખ ભરી જાવ. દાદાના નામથી, તે તમારે ભરી દેવાના. એટલે મને કાગળ લખવો નહીં. અગર કંપનીને મોટી ખોટ આવી હોય તોય મને કાગળ લખવાનો નહીં તમારે. એટલે ઉપાધિ જ નહીં ને ! અને એ પૈસા સારા લાગતા હતા. પદ્ધતિસર. જોકે અત્યારે તો બધો પૈસો ખોટો છે. બધો જ સાચો કે ખોટો, મૂળ રકમ જ ૧૯૩૯ પછીનો પૈસો સાચા રસ્તાનો નથી. એટલે સંતોષ નહીં આપે, જેવો જોઈએ એવો. એના કરતાં સારા કામમાં વપરાઈ જાય ને, નિરાંત ! નહીં તો ગટરમાં જતો રહેવાનો. જન્મથી જ લોભ નહીંપ્રશ્નકર્તા : આ જરા આશ્ચર્યની વાત છે. નહીંતર આ નથી હોતું માણસને. જ્યારે આપણે મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે ઘરને માટે જ બધું કરતા હોઈએ ને ઘરમાં વધારેમાં વધારે કેમ ભરીએ, એવું જ મોટે ભાગે થતું હોય છે. દાદાશ્રી : મને નાનપણથી લોભ ન હતો. પ્રશ્નકર્તા : તો પછી પૂર્વજન્મનું કંઈ ફળ ગણવું ? (પા.૧૮૧)દાદાશ્રી : હા, તે પૂર્વજન્મનું. પણ પહેલેથી લોભ ન હતો. અહંકાર બહુ ભારે હતો. એ લોભ ન હતો, ત્યારે અહંકાર બહુ ભારે હતો. રડવાની જગ્યા ના જોઈએ ?અમારો ત્યાં આગળ સોનગઢમાં બિઝનેસ (ધંધો) કાઢેલો. અમે લાકડાં ખરીદી કરવાનાં અને સૉ મિલ (લાકડાનું પીઠું) હઉ નાખેલી. આમ ધંધો તો કોન્ટ્રાક્ટરનો બહુ સારો ચાલે, ઘણા પૈસા મળે પણ આમ તો લોભ ‘અહીંથી લૂંટું કે ત્યાંથી લૂંટું’ તે લોભિયો સ્વભાવ મારો મૂળથી જ નહીં. અમારા ભાગીદારને એવું બહુ. અને મને તો આવું સારું લાગે, બહાર ફરવાનું એટલે જરા ફેરો મારી આવું ત્યાં આગળ, સૉ મિલ ઉપર. એટલે ત્યાં અમારા ‘ધ્યાનમાં’ રહીને ને ચાલ્યા કરે ગાડાં ! ને ધંધાની બહુ પડેલી નહીં. કારણ કે અમારા ભાગીદારે જ ના કહેલું કે બધું કામકાજ હું કરી લઈશ. તમારે તો મને બે-ત્રણ મહિને, બે-ત્રણ મહિને આવવું ને એક ફેરો સલાહ આપી જવી. મારી સલાહ બે-ત્રણ મહિના સુધી ચાલ્યા કરે ! તે તમે વાંચી લેજો બધું અને ખોળી કાઢો. આપણે આત્મા ખોળી કાઢો. પ્રશ્નકર્તા : એવું કહેલું. દાદાશ્રી : હા, બધું એ તો કાયમ માટે અને એક બીજો મિત્ર હતો તે આવે. તે કહે, ‘તમે બે ભાગીદારને હમણાં ખાસ કમાણીઓ નથી. પહેલાં હતી, પણ અત્યારે તો કંઈ કમાણી દેખાતી નથી. પણ મારો ધંધો સારો ચાલે છે. આ પણ તમે તમારો ધંધો ચાલુ રાખો ને મારે ત્યાં પાર્ટનરશિપ રાખો.’ તે મારો ફ્રેન્ડ હતો. એના મનમાં એમ કે, ‘દાદા, ગાડી ના લાવે તો આપણી આબરૂ શું રહે ? આપણી કંપનીના માણસ !’ સમજ પડીને ? અને ઘેર આવે તે કહે કે, ‘તમે મકાન બદલી નાખો. તમે બંગલામાં આવી જાવ હવે. આ પોળમાં અમને બેસવા આવતાંય શરમ આવે. તે પછી મેં કહ્યું, ‘આ બદલીશને તો તમારે રડવાની જગ્યા ક્યાં લાવીશું ? તું કોને ત્યાં રડવા જાઉં ? આ તો રડવાની જગ્યા છે બધી. સંતાઈ જવાની જગ્યા.’ અડચણ આવે ત્યારે સંતાઈ જવાની જગ્યા જોઈએ (પા.૧૮૨)કે ના જોઈએ ? પ્રશ્નકર્તા : જોઈએ. દાદાશ્રી : એ મારો મિત્ર હતો ને તે તેંતાલીસની સાલમાં રડી ઊઠેલો. તો એ ત્યાં આવીને રડેલો, પછી ’૫૩માં રડેલો. દસ વર્ષે મોઢું ઊંચું થાય ને પાછું દસ વર્ષે બેસી જાય ! પછી રડવાની જગ્યા કંઈથી લાવીશ ? હવે એ મારા મિત્ર મને શું કહે છે ? મારો ધંધો છે એટલે તમે પાર્ટનરશિપમાં (ભાગીદારમાં) રહો. કારણ કે વહીવટ મારો બહુ સુંદર. ઓર્ગેનાઇઝર (વહીવટકર્તા) તરીકે પાંચ અબજનો ધંધો હોય તો કરી આપીએ. બીજું આવડે નહીં કશું. ઓર્ગેનાઇઝ કરી આપીએ. દર્શન બધું ટોપ ઉપર. એટલે ભાગીદારને ઓર્ગેનાઇઝ કરી આપું. અને તે પ્રમાણે એ ચાલ્યા કરે. મહેનત કરવી ના પડે અમારે. તે પછી મારો મિત્ર મને કહે, ‘બાર મહિને લાખ રૂપિયા મારે તમને આપવા. અમારા ધંધામાં તે ઘડીએ કમાણી ઓછી હતી. બાર મહિને માંડ પંદર હજાર ભાગે આવે, અમારે બેઉ જણને ! તે લાખ આપવાના ! બાર મહિને લાખ રૂપિયા તો નક્કી જ પાર્ટનરશિપમાં, અને તમારે બેસી રહેવાનું. ગાડી પાછી આપવાની. અને ખોટ જાય તો મારે માથે, અને નફો વધારે આવે તો તમારો ભાગ. અને ખોટ જાય તોય તમારે લાખ લઈ લેવાના.’ મેં કહ્યું, ‘પણ તારી જોડે રહીને મારી શી દશા ? તમને દરેક સાલ રડવા જોઈએ. તમે તો પાછા રડતા આવો. તમે તો રડવાની ટેવવાળા છો. હું પાછો રડવાની ટેવવાળો થઈ જાઉં. હું તો રડ્યો નથી બા. મારે તો મારા બાગીદાર સારા. અમે બેઉ નિરાંતે ભાખરી ને શાક ખઈએ એવા છીએ. મારે લાખ-બાખ ના જોઈએ. અમારા ખર્ચા ચાલે છે. અમે ભક્તિ કરીએ છીએ. આખો દહાડો. અમારા આવા ભાગીદાર છોડીને હું ક્યાં પાછો તારી જોડે ભાંજગડ કરવા આવું ? તારો પાહ (પાસ) ચઢી જાય તો હું ગાંડો બની જાઉં. રૂપિયા તો આપે પણ પાહ એવો ચઢી જાય ! હિંગ મફત આપે તે કાનમાં પૂમડાં ઘલાય એનાં ? મફત આપે એટલે કાનમાં પૂમડાં ના ઘલાય ? મફત આપે માટે કંઈ આવું થતું હશે ? (પા.૧૮૩)અમારા પરેય ફોજદારી કેસઅમારી ઉપર એક ક્રિમિનલ કેસ કરેલો કોઈએ. એલિફન્ટામાં એક જેટી બંધાતી હતી, તે જેટીનું ટેન્ડર પેલા મૂળ એલિફન્ટા ગામમાં રહેનારા માણસને ભાગ ના આવ્યું. એટલે પછી અમારે ભાગે આવ્યું. હવે પેલા માણસે સામાન બધો તૈયાર કરી રાખેલો. અમને કંઈ આવી ખબર નહીં. એટલે એ પછી એ માણસે બધો સામાન તૈયાર કરીને સાઈટ પર મૂકી રાખેલો. પછી આવીને અમને અને અમારા ભાગીદારને એ શું કહેવા માંડ્યો કે, ‘ આ સામાન બધો તમારે લેવો પડશે’ એટલે અમે કહ્યું કે, ‘લઈ લઈશું’. જે બજારમાં ભાવ હશે, ને મુંબઈથી અહીં લાવીએ ને જે ખર્ચો થાય, એનાં કરતાં બે વધારે આપીને પણ તમારી પાસેથી લઈશું. હવે બોંતેર રૂપિયા ખર્ચ થાય એવું હતું, તે અમે પંચોતેર રૂપિયા આપવાનો વિચાર કર્યો ત્યારે એ કહે છે કે ના, સો રૂપિયા ભાવ આપવો પડશે, એટલે ‘આપવો પડશે’ એ શબ્દે અમને બહુ વિચારમાં મૂકી દીધા કે ‘આપવો પડશે’ એ શબ્દ શું કહેવાય ? જો ભગવાન આવું કહેત તો ભગવાનની સામે થાત. અને આવું કહે તો એ ભગવાન નહીં, એવું અમે જાણીએ. ખુદ મહાવીર આવ્યા હોય ને જો આવું કહે તો હું જાણું કે આ મહાવીર ન હોય એટલે ‘આપવો પડશે’ કહ્યું એટલે પછી અમે કહ્યું કે ભાઈ શું છે તમારે ? ત્યારે કહે છે કે તમારે અહીં ધંધો કરવો હોય તો ‘આપવો પડશે’. એટલે અમે કહ્યું કે અમે તમારો માલ લેવાના નથી. એટલે એ માણસે શું કર્યું કે અમે પથ્થર કાઢતા હતાતેની જોડે એ પથ્થર કાઢતો હતો, કારણ કે બધી માલિકી ઘણી ખરી એની હતી હવે ખરેખર તો એણે ગવર્નમેન્ટની માલિકી દબાવી પાડેલી, ને દબાવી પાડેલી એટલે ગવર્નમેન્ટ કંઈ છોડે નહીં. પણ ગવર્નમેન્ટને ભુલાવામાં નાખેલી અને કામ કર્યા કરે ને લાભ ઉઠાવે બધો. પછી એણે અમારા પર પેલું ક્રિમિનલ કર્યું કે, ‘આ બધું મારી માલિકીમાં પડ્યું છે, માટે આમની મશીનરી બધી જપ્ત કરી લેવી.’ એટલે આખી આખી મશીનરી બધી જપ્ત થઈ ગઈ. પછી એણે કહ્યું કે અમારી માલિકીના આવડા આવડા પથ્થર હતા, તે આ લોકો ચોરી ગયા છે. ‘કેટલા રૂપિયાના ?’ ત્યારે કહે કે, ‘પચ્ચીસ રૂપિયાના.’ અમે, ભાગીદાર (પા.૧૮૪)અને બીજા બે નોકર હતા એ ચાર જણને આરોપી તરીકે મૂક્યા એટલે એણે આ અમારી ઉપર ક્રિમિનલ કેસ કર્યો કે ‘આ પચ્ચીસ રૂપિયાના પથ્થરો ચોરી ગયા અને આ મારી માલિકી છે. તેમાં આ મશીનરી મૂકે છે. એને જપ્તીમાં લીધું. અમારા ભાગીદાર ઠેઠ બધે ગવર્નમેન્ટમાં પહોંચી જઈ અને ત્યાંથી પરવાનગી લઈ આવ્યા એટલે આ મશીનરી તો છૂટી થઈ. અને પેલો જે કેસ થયો, તે તો એણે પાછું શું કર્યું ? કે ક્રિમિનલ કરી અને આરોપી ઉપર પેલું એ કઢાવ્યું, વોરન્ટ અને તે અનબેલેબલ. એટલે આ ઢીલાઢચ કરી નાખવા માટે એણે આ બધું કર્યું. હવે એણે આ બધું કર્યું એની પાછળ કોઈ મજબૂતી હતી, પુષ્ટિ હતી કે પુષ્ટિમાં શું હતું કે દારૂનો ને એ બધો ધંધો કરતો હતો, અને ત્યાં આગળ ઓફિસરો એ બધા દારૂ પીવે. માંસાહાર કરે ને એટલે બધા એને મળતા થઈ ગયેલા. એટલે અમારું કંઈ ચાલે નહીં. અમે પછી સમજી ગયા કે આ બધું એક જ બાજુ છે. આપણું કરવા જઈએ તોય કશું વળે નહીં. હવે કોઈ મોટા ઓફિસરો દાદ ભરે, પણ ત્યાર હોરું, એ મોટા ઓફિસરે લખવાનું તો નાના ઓફિસરને એટલે અમારું કશું વળે નહીં. એ કેસમાંથી આ અનબેલેબલ વોરન્ટ કાઢ્યાં તે વખતે હું અહીં મામાની પોળમાં હતો અને અમારા ભાગીદાર ત્યાં મુંબઈમાં હતા. અને એક-બે છોકરાઓ રત્નગિરિ હતા. તે બધો તાલ બઝાવવા ગયા પણ બઝાયું અમારું પહેલું. એટલે પોલીસવાળા અહીં આવેલા, ત્યારે આપણા મહાત્મા, ને બીજા એક-બે જણ બેઠેલા ને બધી સત્સંગની વાતો ચાલે. ૧૯૫૮-૫૯ની સાલ, પછી ફોજદારે અને એના હાથ નીચેના માણસે નક્કી કરેલું કે આપણે કોન્ટ્રાક્ટરને ત્યાં જવું. એટલે કોઈકને પૂછેલું કે, ‘ભઈ, આ કોન્ટ્રાક્ટર ક્યાં આગળ રહે છે ?’ ત્યારે કહે કે, ‘આ પોળમાં રહે છે અને માણસ સારા છે. માટે એમને ત્યાં તમે પોલીસ-ડ્રેસમાં જશો નહીં. જે કંઈ કામ હોય, પણ તમે પોલીસ-ડ્રેસમાં જશો નહીં.’ એટલે એ લોકો સાદા ડ્રેસમાં આવ્યા. એટલે હું સમજ્યો કે આ સત્સંગી આવ્યા. એટલે મેં કહ્યું કે, ‘આવો, પધારો’ અને સત્સંગ મેં ચાલુ રાખ્યો. ત્યાર પછી એ લોકોને મનમાં એમ લાગ્યું કે આ તો ભૂલ ખાધી આપણે. જો (પા.૧૮૫)પેલો ડ્રેસ પહેરીને આવ્યા હોત તો ઉપાધિ ના થાત. એટલે પછી થોડીવારે ફોજદારની હિંમત ખૂટી, મને કહે છે કે, ‘આ તમારા પરનું વૉરન્ટ છે.’ મને કાગળ આપ્યો. મેં કહ્યું કે, ‘આ કરેક્ટ વાત છે. વાત સાચી છે. બેસો થોડીવાર, તમારે ઉતાવળ નથીને ? હું આવું છું તમારી સાથે, પણ થોડી ચા કશું પીઓ.’ મેં ચા-પાણીનું કહ્યું એટલે એ કહે છે કે ‘ના, ચા નહીં પીએ.’ ત્યારે મેં કહ્યું કે, ‘ના પહેલી ચા પીવો. પછી આપણે જઈએ.’ એ લોકોએ ચા પીધી. તોય હું તો સત્સંગના મૂડમાં હતો. મારા મૂડ ઉપર કંઈ ચેન્જ ના જોયો. એટલે એમના મનમાં એમ થયું કે આમને ચેન્જ નથી થતો માટે એક પડીકી વધારે આપો. એટલે મહીં જરા સંડાસ થાય એમને. પછી એ મૂડને બદલવા માટે મને કહ્યું કે, ‘આ વોરન્ટ છે પણ અનબેલેબલ છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘હું તો મહાભાગ્યશાળી કહેવાઉં, બાંધીને મને લઈ જાવ, તો અમારા પડોશીઓને આનંદ થાય. કોઈ દહાડો એમને આનંદ થતો નથી. રોજ તપ કર્યા કરે છે કે આ જ્ઞાની થઈ બેઠો છે, મોટા જ્ઞાની થઈ બેઠા છે.’ તે મેં ફોજદારને કહ્યું કે આ તમે બાંધો અહીં આગળ.’ ત્યારે કહે છે કે, ‘ના બંધાય. તમે અમારી સાથે ચાલો.’ તે મેં કહ્યું કે, ‘નહીં બાંધો. તો આ લોકોને આનંદ થશે કે ઓ હો હો રોજ મોટી મોટી વાતો કરતા હતા અને કેવા પાંસરા થઈ ગયા.’ એટલે પોલીસ રાવપુરા ગેટમાં લઈ ગયા. ત્યાં મોટા ફોજદાર હતા, તે મને ઓળખે, બીજી રીતે નહીં, એટલે પછી પેલા ફોજદારને કહે છે કે, ‘આમને શું કરવા તેડી લાવ્યો છું ?’ ત્યારે આ કહે કે, ‘આ જ પેલા સ્વામી.’ એટલે કહે કે ‘એવું બને નહીં.’ ત્યારે કહે કે ના એ જ છે. પછી મોટા ફોજદારે કહ્યું કે સારું, તો ભલે અનબેલેબલ વોરન્ટ છે પણ છતાં હું તને ઓર્ડર કરું છું. બસ્સો રૂપિયાના જામીન લઈ લો. હવે આપણા ભાણાભાઈ, એ શું કહે છે કે, મગનભાઈ શંકરભાઈને કહેવડાવી દઉં, નહીં તો ભવાડો બધો કાલે પેપરમાં આવશે. ત્યારે મેં કહ્યું કે ના કહેવાડવાશો. પેપરમાં આપણે છપાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. તો આ વગર પૈસે મારું નામ છપાય, તો હું બહુ ધન્ય માનું. ભલેને, ભવાડો છપાય છે પણ વિચાર કરનારો વિચારશે કે નહીં વિચારે ? જેટલા ઓળખતા હશે એ તો વિચારશે ને ? નહીં ઓળખતા હોય તેમને ઘડીવાર ભવાડો લાગશે. એટલે મેં કહ્યું કે, ‘જવા દો, કશો વાંધો નહીં, કહેવડાવશો નહીં.’ એટલે (પા.૧૮૬)એમણે એમ ને એમ અદબદ રાખ્યું અને બસ્સો રૂપિયાના જામીન અમારા ચાર જણ હતા, તેમાંથી એક જણ થઈ ગયો. એટલે આ કામ બધું પતી ગયું. પછી મને કહે છે કે, ‘તમારે લાલ કિલ્લામાં આવવું પડશે. બપોરે આવજો.’ ત્યારે મેં કહ્યું કે, ‘એ ક્યાં આવ્યો ?’ ત્યારે અમારી જોડે એક ભાઈ હતા એ કહે છે કે, ‘હું જોડે આવીશ, અને હું તમને તેડવા આવીશ અને આપણે જોડે જઈશું. ત્યાં લાલ કિલ્લામાં જે હોય તે આપણે વિધિ કરી લેવાની.’ ફોજદારના કહ્યા પ્રમાણે અમે બપોરે ત્રણ વાગે ત્યાં આગળ ગયા. જ્યાં આગળ એક વિધિ કરવાની હતી, ત્યાં આગળ એ માણસ કહે છે કે, ‘આરોપીને લાવો’, હું ગયો ત્યારે મને કહે છે કે, ‘આરોપીને તેડી લાવો, તમે શું કરવા અહીં આવો છો ?’ ત્યારે મેં કહ્યું કે, ‘હું જ છું, એ આરોપી.’ તે કહે, ‘એ બને નહીં આવું.’ મેં કહ્યું, ‘બન્યું છે ને ! હકીકત છે ને ?’ એમનેય બધું વિચિત્ર લાગ્યું આ, એટલે પછી એ કહે છે કે, ‘સારું ત્યારે, બાકી મારે તો આ શરમ લાગે છે. તમારો અંગૂઠો લેતાં મને શરમ લાગે છે.’ મેં કહ્યું કે, ‘ના, તમે એમ બિલકુલેય ના માનતા કે હું સહેજેય દિલગીર છું. મને તો એમ થયું કે કોળિયાની નાતમાં બાબરિયો પહેલો નંબર લાવ્યો હતો, એવું અમારી પાટીદારની નાતમાં પહેલો નંબર લાગ્યો છે મારો.’ પછી અમે ઘેર આવ્યા. પછી એ કેસ ચાલ્યો, તે ઠેઠ છ-સાત મહિના સુધી ચાલ્યો. ચારેય જણા ત્યાં જઈએ કારણ કે ફોજદારી એટલે બીજું બધું ધાંધલ ચાલે જ નહીં. રજાઓ લઈએ તો ચાલે નહીં. પહેલે દિવસે એટેન્ડ થાય. ત્યારે વકીલ કરેલો, તે વકીલને લીધા સિવાય અમે અંદર ગયા. મેજિસ્ટ્રેટ સાહેબે અમને અંદર બોલાવ્યા કે આ તમારે પચ્ચીસ રૂપિયાની ચોરીનો આરોપ છે. આ આરોપ કંઈ બહુ મોટો નથી. એટલે તો અહીં કબૂલ કરી લો, તે હું તમને પચ્ચીસ રૂપિયા દંડ કરું અને તમને મુક્તિ આપું. ત્યારે મને આ સરળ લાગ્યું. મેં કહ્યું કે ઉકેલ આવતો હોય તો ભલે, આ દોડધામ કરવી મટે, એટલે પછી બહાર વકીલ કહે છે કે, ‘એવું ચાલે નહીં. આ તમારી કંપની બ્લેક લિસ્ટમાં મૂકશે.’ ત્યારે મને થયું કે ‘અલ્યા, અરરર આવું બધું છે ? તો તમને શું લાગે છે ?’ કહ્યું ત્યારે એ કહે કે, ‘ના આપણે (પા.૧૮૭)કેસ લઢવાનો.’ એ શું કહે છે ? કંપની બ્લેક લિસ્ટમાં જાય, તે એવું તો આપણાથી થાય નહીં ને ! અમને બ્લેક લિસ્ટની પડેલી નહીં પણ છતાં કુદરતી રીતે લોકો કહેને કે ‘આવું કેમ કર્યું, આવું ન થવું જોઈએ.’ એટલે આપણે કહ્યું કે, ‘ચાલવા દો.’ એટલે મેજિસ્ટ્રેટ સાહેબને અમે ના કહ્યું. પછી એ કેસ ચાલ્યો. તે અમારે જે જગ્યાએ બેસવાનું હતું ને, આરોપીને બેસવાની જગ્યા હોય ને ? તે તમે જોયેલીયે નહીં હોય, અને મેં તો અનુભવેલી છે. એટલે ત્યાં અમે ચારે જણા કપડાંવાળા બેઠા હોય, બીજા બધા તો કોઈને આટલું ધોતિયું જ, કોઈના પગમાં જોડા ના હોય, તે બધા આરોપીના ભેગા અમે ચાર જાણે મોટા પ્રમુખ ના હોય એમ ?’ રોફ કેટલો બધો ! પેલા બધા આઘા થઈ જાય ! અમે આવીએ ત્યારે બીજા આરોપી ખસી જાય. એટલે પછી એ કેસ ચાલ્યો. ધીમે ધીમે કેસ પેલાની વિરુદ્ધમાં ગયો એટલે સાહેબે પેલાને ખાસ ખબર આપી, પેલાને ફૂંક મારી કે સમાધાન કરી લે. ત્યારે પેલો કહે છે કે મારી જોડે તો ક્યારેય પણ એ સમાધાન નહીં કરે માટે સાહેબ, તમે કરી આપો. એટલે સાહેબે પછી અમને બોલાવ્યા. હું નમ્ર સ્વભાવનો એટલે મને પહેલાં બોલાવ્યો. અમારા ભાગીદાર તો બહુ કડક. તે મને બોલાવ્યો મને કહે છે કે, ‘આ તમે સારા માણસ, સજ્જન થઈને આ બધું શું ? આ કેસને ઊંચો મૂકી દો ને ! ત્યારે અમારા ભાગીદારે બહારથી કહેવડાવ્યું. હું અંદર ગયો ને ત્યારે એમણે શું કહેવડાવ્યું, ‘આ કેસમાં તો આ દાદાની આબરૂ બગાડી. ત્રણ લાખનો દાવો એમનો અને બે લાખનો મારો દાવો છે અને આ છોકરાઓનો લાખ-લાખ રૂપિયાનો દાવો છે. આટલા દાવા આબરૂ લીધા બદલના માંડવાના છે. એટલે પેલાને ગભરામણ થઈ ગઈ, કારણ કે એને કહેલું કે કેસ તારી વિરુદ્ધમાં જાય છે. પછી ત્રણ લાખમાંથી એ પચાસ હજારેય કરે કે ના કરે ? આ અમારા ભાગીદારે એને રેચ આપ્યો. એટલે પછી મને કહે છે કે, તમે ઉકેલ લાવો ને તમે કહો હું આને ઊંચે મૂકી દઉં, એટલે અમારા ભાગીદારે ના પાડી ત્યારે મેં અમારા ભાગીદારને સમજણ પાડી કે, ભઈ, ઊંચું મૂકી દો ને ! ત્યારે કહે, ‘ના, (પા.૧૮૮)ના. હવે તો એમને એ જ કરવાનું.’ મેં કહ્યું કે, આ ઉપાધિ શું કરવા કરો છો ?’ ત્યારે કહે કે, ‘ના, એ તો એને શિખવાડવાનું.’ મેં કહ્યું કે, ‘ક્યાં સુધી આપણે શિખવાડતા રહીશું ?’ કેટલાક જણને આપણે શિખવાડીશું ? એના કરતાં આપણે જ શીખી લો ને ?’ પણ તે ના માન્યું. એ તો કહે કે શિખવાડવાનું જ. એ બહુ કડક હતા પછી સાહેબે પેલાને બહુ ઠપકાર્યો અને એ પછી માફી માગવા આવ્યો. એ માફી માગવા આવ્યો એટલે મેં અમારા ભાગીદારને કહ્યું કે, ‘ઊંચું મૂકી દોને, આપણે રૂપિયા નથી જોઈતા. જો માફી માગે છે. આપણો પૂર્વ ભવનો હિસાબ હતો તે આ ફેરો આ જ જામ્યું. નહીં તો આ જામે ક્યારેય કોઈ પણ વસ્તુ ? પૂર્વ ભવનો હિસાબ હતો તો જ જામે, નહીં તો નવા હિસાબથી જામે નહીં, માટે હિસાબ ચોખ્ખો થયો આપણો. લેતાંય એટલો જ વિવેકપ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના હોય, અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ? દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો. પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ? દાદાશ્રી : ના, ના. એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, ‘અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.’ એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે. (પા.૧૮૯)પ્રશ્નકર્તા : એટલે એના માટે સામાન્ય પ્રયત્ન કરી જોવાનો ? દાદાશ્રી : સામાન્ય એટલે એને કહેવાનું કે, ‘ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે, આપની પાસે હોય તો જરા જલદી મોકલી આપો તો સારું.’ લેનારાનો જેટલો વિવેક હોય ને, એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો. આપણને પેલો ખ્યાલ રહે છે. એ બધું નુકસાન બહુ કરે છે. આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈ ને મરી જાય ! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છુટકારાનો વખત આવે ત્યારે પોતે છુટકારો ના કરી લે. પછી ફરી છુટકારાનો આવો વખત જ ના આવે ને ! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે ? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે ‘આ પૈસા નહીં આપે તો શું થશે.’ એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તો આપતાં પહેલાં જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં. લેણું આપીને છૂટ્યાએવું છે ને, કે આપણે કો’કના લીધા હોય - દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો’કના પાછા ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે, ‘એ ક્યારે આપશે, ક્યારે આપશે.’ તો આનો ક્યારે પાર આવે ? અમારેય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા નાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરા. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય તે ચિઠ્ઠીમાંય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ, દોઢ વર્ષ થયું હશે. મનેય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, (પા.૧૯૦)‘પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.’ ત્યારે એ કહે છે કે, ‘શેના પાંચસો ?’ મેં કહ્યું કે, ‘પેલા મારી પાસેથી લઈ ગયા હતા ને, તે.’ ત્યારે એ કહે કે, ‘તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?’ ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, ‘હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.’ પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આ બનેલા દાખલાઓ છે ? એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી પાવાં કે, ‘ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.’ એ કહે કે, ‘વ્યાજ નહીં મળે.’ તો કહીએ, ‘મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !’ સમજાય છે ? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ સુખી ? અને છે ‘વ્યવસ્થિત’ ! નથી આપતો તેય ‘વ્યવસ્થિત’ છે, અને ડબલ આપ્યા તેય ‘વ્યવસ્થિત’ છે. પ્રશ્નકર્તા : આપે બીજા પાંચસો કેમ પાછા આપ્યા ? દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા. એ કહેશે કે, ‘મારાથી અપાય એવા નથી, તો માંડવાળ કરજો.’ તો એને પહોંચી વળાય ને ફરી આવતા અવતારમાંય ભેગો થાય તો વાંધો નથી ! પણ આવા માણસનાં તો કોઈ અવતારમાંય દર્શન ના થવાં જોઈએ. અમારી નાતને તો અડે જ નહીં તો સારું. અમારી નાતમાં ક્યાં સુધી અડે કે એ કહે કે, મારી પાસે સગવડ નથી તો તમે માંડવાળ કરો,’ ત્યાં સુધી અમારી નાતને અડે, પણ જે આવું બોલે તે તો અમારી નાતને અડે ય નહીં. કામ જ ના ચાલે ને ! અમારી નાત જોડે લેવાદેવા જ નહીં ને !! ફરી ભેગો જ ના થાય તો સારું, ફરી એનાં દર્શન જ ના થશો. પેલો જાણે કે, ‘હું ફાવ્યો’ અમે કહીએ (પા.૧૯૧)કે, ‘તું ફાવ્યો છું અને અમારી ઇચ્છા હતી, મારો મોટો હિસાબ પતી ગયો ને ! તું ફાવ !!’ આ ક્વૉલિટીને તો કેવી રીતે પહોંચી વળાય ? હવે આને તો ન્યાય કહેવો કે અન્યાય ?! કોઈ કહેશે કે, તમે ન્યાય કરાવીને પાછા રૂપિયા લો.’ મેં કહ્યું કે, ‘ના, આ તો હવે ઓળખાણ પડ્યું કે આવી ક્વૉલિટી હોય છે. માટે આ જ્ઞાતિથી તો છેટા, બહુ છેટા જ રહો અને આમની જોડે તો ખરા ખોટાનો ન્યાય કરતાં તો તલવારો ઊડે એટલું થાય.’ માંડવાળ કર્યા, છૂટવા માટેલોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી ’42 થી ’44 સુધી મેં બધાને આપ આપ જ કર્યું. પછી ’45 માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે ? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. એના કરતાં ઉઘરાણી કરીએ તો પાંચ હજાર આપીને દસ હજાર લેવા આવે. એના કરતાં આ પાંચ હજાર એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે ‘હવે ભેગા ના થાય તો સારું.’ અને રસ્તામાં મને દેખે ને, તો પેલી બાજુથી જતો રહે, તે હું પણ સમજી જઉં. એટલે હું છૂટ્યો, મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ છોડ્યો મને !! હવે એ ટોળામાં શા માટે પેઠો હતો ? માન ખાવા માટે. માન ખાવાનો મહીં મોહ રહેલો એથી માન ખાવા મહીં પેઠેલા. પણ હવે નીકળવું શી રીતે ? પણ મને આ રસ્તો જડી ગયો. જ્યારે જ્યારે મારા મનમાં નક્કી થાય કે હવે શી રીતે નીકળવું ? તે ઘડીએ મને સૂઝ પડી જાય. એટલે મેં નક્કી કર્યું કે આ પૈસા માંગવા નથી, કોઈ રસ્તો આવી જશે. એવો સરસ અંત આવી ગયો કે કોઈ આવતું જ બંધ થઈ ગયું. એમાંથી બે-ચાર જણ આવીને આપી ગયા હશે, પછી મેં એમને મોઢે જ કહી દીધેલું કે, ‘ભઈ, હવે તો મેં વ્યવહાર આ હીરાબાને સોંપી દીધો છે. મેં મારા હાથમાં કશું રાખ્યું નથી.’ એવું કહી દીધેલું. એટલે ફરી ભાંજગડ જ મટી ગઈને ! હવે મારા હાથમાં કશું નથી, ઘરમાં મારું ચલણ પણ (પા.૧૯૨)નથી’, એવું કહી દીધેલું. આપવા પણ ગયા સમજીનેકોઈને રૂપિયા આપ્યા હોય, બે ટકાના વ્યાજે કે દોઢ ટકાના વ્યાજે કે પછી ત્રણ ટકાના વ્યાજે, પણ ફરી કોઈ દહાડો દેખાવાના નથી એવી રીતે આપવા. એટલે જ્યારે પછી પાછા આવે ત્યારે નફો જાણવો. એક વખત રૂપિયા અપાઈ ગયા પછી એની ચિંતા ઉપાધિ કરવાની ના હોય, કારણ કે તમારા હાથમાં સત્તા જ નથી. આ મનુષ્યોના હાથમાં જીવવાનીયે એક ઘડીવાર સત્તા જ નથી. કઈ સેકન્ડે મરી જશે એનું ઠેકાણું નથી, ને રૂપિયાની ચિંતા કર્યા કરે છે. અલ્યા, રૂપિયાની ચિંતા થતી હશે ? જગતવ્યવહાર હિસાબ માત્રકેટલાક લોક કહે છે કે, ‘અમે કો’કને પૈસા ધીર્યા છે તે બધા ઘલાઈ જશે.’ ના, આ જગત બિલકુલેય એવું નથી, કેટલાક કહેશે, ‘પૈસા આપે તો ઘલાય જ નહીં.’ એવું ય જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે. મનમાં એમ થાય કે, ‘કોઈ ચોર પકડશે તો શું થશે ?’ કશું એવું બને એવું નથી. અને જે પકડાવાના છે તેને કોઈ છોડવાના નથી. તો પછી ભડકવાનું શેને માટે ? જે હિસાબ હશે તે ચૂકતે થઈ જશે. અને આમાં હિસાબ નહીં હોય તો કોઈ કશું નામ દેનારાં નથી. હવે આમાં નીડરે ય નથી થઈ જવાનું કે મારું નામ કોણ દે ? એવું પાછું બોલાય જ નહીં. એ તો બીજાને પડકાર આપ્યો કહેવાય. બાકી મનમાં ભડકશો નહીં, ભડકવા જેવું આ જગત નથી. આપણું ઘડિયાળ હોય ત્રણ હજારનું અને ફોર્ટ એરિયામાં પડી ગયું હોય. ફોર્ટ એરિયા એટલે તો મહાસાગર કહેવાય, તે મહાસાગરમાં પડેલું કંઈ ફરી જડે નહીં. આપણે આશાયે રાખીએ નહીં. પણ ત્રણ દહાડા પછી છાપામાં જાહેરખબર આવે કે જેનું ઘડિયાળ હોય તે, એનો પુરાવો આપીને અને જાહેરખબરનો ખર્ચ આપીને લઈ જાવ. એટલે આવું આ જગત છે, બિલકુલ ન્યાયસ્વરૂપ !! તમને રૂપિયા ના આપે તેય ન્યાય છે, (પા.૧૯૩)પાછા આપે તેય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો, એટલે રૂપિયા ના આપે એમાં એનો કોઈનો દોષ નથી. એવી રીતે પાછા આપવા આવે છે એમાં એનો ઉપકાર શો ? આ જગતનું સંચાલન તો જુદી રીતે છે ! એ કુદરતનો ન્યાયન્યાય જોવા જશો નહીં. ન્યાય જોવા જશો તો કોર્ટમાં જવું પડશે, વકીલો કરવા પડશે. બન્યું એ ‘કરેક્ટ’ માનીને હવે ફરી વકીલ કરવા નહીં. આ તો આપણા ન્યાયથી છે. આ સાચું ને ખોટું નેચરલ ન્યાયથી હોવું જોઈએ. નેચરલ ન્યાય શું કહે છે ? કે જે બન્યું એ કરેક્ટ, જે બન્યું એ જ ન્યાય. જો તમારે મોક્ષે જવું હોય તો બન્યું છે એ ન્યાય સમજો અને તમારે ભડકવું હોય તો કોર્ટના ન્યાયથી નિવેડો લાવો. કુદરત શું કહે છે ? બન્યું એ ન્યાય છે એમ તમે સમજો, તો તમે નિર્વિકલ્પી થતા જશો, અને કોર્ટના ન્યાયથી જો એ કરશો તો વિકલ્પી થતા જશો. ઉઘરાણીની અનોખી રીતટૂંકી વાત. જે બન્યું એ ન્યાય છે. બીજો ન્યાય ખોળશો નહીં. જગતનો સ્વભાવ શું ? ન્યાય ખોળે. મેં એને સો રૂપિયા આપ્યા હતા. અને ખરે ટાઈમે મેં પાંચ રૂપિયા માગ્યા તોય આપતો નથી. અલ્યા, નથી આપતો એ જ ન્યાય છે. એને અન્યાય શી રીતે કહેવાય આપણાથી ? બુદ્ધિ તો માર તોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને. એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે એનું નામ બુદ્ધિ. કહેશે, ‘શા બદલ પૈસા ના આપે ? માલ લઈ ગયા છે ને ? આ ‘શા બદલ’ પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી. કહેવું, ‘અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે’, પછી પાછા આવી જવું. ‘પણ શા બદલ ના આપે એ ?’ કહ્યું એટલે એ પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી ! જે બન્યું એ ‘વ્યવસ્થિત’ કહીએ ! જે બન્યું એ ન્યાય કહીએ એટલે (પા.૧૯૪)બુદ્ધિ જતી રહે. જે બને છે એ ન્યાય છતાંય વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહીં. એના પર ચિઢિયાં ના ખાય, અને આપણને અકળામણેય થાય નહીં. જાણે નાટક કરતા હોય ને, એમ ત્યાં બેસીએ, કહીએ કે, ‘હું તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્ય હો કે મારી પુણ્ય હો, પણ આપણે ભેગા થયા કહીએ.’ એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ. ‘અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.’ ત્યારે કહે, ‘તમને શું મુશ્કેલી છે ?’ ત્યારે કહીએ, ‘મારી મુશ્કેલીઓ તો હું જ જાણું. ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો.’ કહીએ. આમતેમ વાત કરીને કામ કાઢવું. લોકો તો અહંકારી છે, તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએને, તો બધું કરી આપે. પાંચ-દસ હજાર અપાવડાવો કહીએ તોય, ‘હા અપાવડાવું છું.’ કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવો જોઈએ. સો ધક્કા ખાય ને ના આપું તો કંઈ નહીં, બન્યું તે જ ન્યાય કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે ? પ્રશ્નકર્તા : ના, ના. બધા ધંધાવાળાને હોય. દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી. ઉઘરાણીથી સપડાયું છે. જેને તે મને કહે કે, ‘મારી ઉઘરાણી દસ લાખની છે, તે આવતી નથી. પહેલાં ઉઘરાણી આવતી હતી.’ કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા. હવે કહેવા આવે છે. ઉઘરાણીનો શબ્દ તમે સાંભળેલો કે ? એ કોની રાણી છે વળી ? પ્રશ્નકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે એ ઉઘરાણી જ છે ને ! દાદાશ્રી : હા, ઉઘરાણી જ છે ને ! એ ચોપડે તે ખરેખરી ચોપડે. ડિક્ષનરી (શબ્દકોશ)માં ના હોય એવોયે શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં. એવા મગજ ફરેલા હોય છે. પણ એમની જવાબદારી પર લાવે છે ને એમાં (પા.૧૯૫)જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય આ મેં શું બગાડ્યું છે તે મારું બગાડે છે. પ્રશ્નકર્તા : એવું થાય છે, આપણે કોઈનું નામ લેતા નથી તો અમને લોક શું કરવા દંડા મારે છે ? દાદાશ્રી : તેથી તો આ કોર્ટો, વકીલો, બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટો, વકીલોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ? પણ વકીલોય કેવા પુણ્યશાળી તે અસીલોય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત (દાઢી) કરતા હોય ! ને પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે. કરવી’તી ઉઘરાણી ને થયું દાનહું તો કોઈની ઉપર દાવો માંડું નહીં. પણ દાવાવાળી જે રકમ હતી ને, તે મેં અમારાં ભાભીને કહેલું કે તમે તમારી મેળે ઉઘરાણીઓ પતાવજો, મારે આ રકમ નથી જોઈતી. ત્યારે મને કહે છે કે, ‘તમે ઉઘરાણી તો કરવા જજો.’ મેં કહ્યું કે, ‘હું ઉઘરાણી કરવા જઉં ત્યારે એને બિચારાને જપ્તી બેઠેલી હોય તે એની બૈરી ઢીલી થઈને કહેશે કે આ જપ્તી બેઠેલી છે, દસ-પંદર રૂપિયા નથી તે આપજોને. તે હું આપીને આવેલો એટલે આવું ને આવું ચાલે. ધરમ કરતાં ધાડમારી ૪૫ વર્ષની ત્યારે ઉંમર હતી. ત્યારે જ્ઞાન નહીં થયેલું. ત્યારે એક ત્રીસ વર્ષનો ફોજદાર હતો, મુસલમાન હતો. થયું એવું કે આપણું લોખંડનું કારખાનું હતું, ‘બીટકો એન્જિનિયરિંગ કું.’ તે કારખાનામાં અમારા ગામનો એક જણ હતો. તે મને કહે, ‘મારે કારખાનામાં પતરાં મૂકવાં છ.ે મારે હમણાં ગાડું લઈ જવાનું સાધન નથી.’ મેં કહ્યું, ‘ક્યાંથી લાવ્યો આ ?’ ત્યારે એ કહે, ‘કંટ્રોલમાંથી લાવ્યો છું.’ (પા.૧૯૬)ત્યારે મેં અમારા ભાગીદારને ચિઠ્ઠી લખી આપી કે એને બિચારાને પતરાં મૂકવા દેજો. છ પેટી પતરાં હતાં. એક એક પેટીમાં છ, છ નંગ હોય. સાત-આઠ નંગનીય હોય. પછી છ મહિના, બાર મહિના થયા, પણ પેલો લેવા આવેલો નહીં. પછી કાગળ આવ્યો એનો, પછી એ જાતે આવ્યો ને કહે કે, ‘આજે અમે ગાડું લઈને આવ્યા છીએ લેવા. ‘હવે એ પહેલાં અમારે ત્યાં સરકારના માણસો આવી ગયેલા. તેમણે પૂછ્યું, ‘તમારે ત્યાં પતરાં ક્યાંથી લાવ્યા છો ?’ મેં કહ્યું, ‘બહારગામવાળાનાં છે, અમારે ત્યાં મૂકી ગયા છે ખાલી.’ ત્યારે સરકારવાળા કહે, ‘અમે જપ્તીમાં લઈએ છીએ. આ કંટ્રોલનું લાવ્યા ક્યાંથી ?’ મેં કહ્યું, ‘લો જપ્તીમાં, મારે શું ?’ હવે પેલા લોકો આવ્યા તે, ‘અમે એ લોકોને પરમિટ દેખાડી આવ્યા કે હવે માલ લેવા દો.’ મેં કહ્યું, ‘આ ઝઘડો થયો, એ લોકો પરમિટ ખોળતા હતા.’ ત્યારે એમણે કહ્યું, ‘એ તો અમે દેખાડી આવ્યા હવે માલ લેવા દો.’ મેં કહ્યું, ‘હા, ત્યારે લઈ લો.’ ને અમારા ભાગીદારે માલ લેવા દીધો. પછી પેલા સરકારના માણસો આવ્યા, એ અમને કહે કે, ‘તમે માલ વેચી દીધો ?’ અલ્યા ભઈ, અમે વેચતા જ નથી. અમે જાણતા જ નથી. આ તો પેલા માણસો લઈ ગયા.’ ત્યારે એમણે કહ્યું, ‘પણ અમે તમને ના કહ્યું હતું ને ? આ જપ્તીમાં લીધેલા છે ને ? આ સરકારી માલ છે. એ કેમ વેચાય ? તમારાથી અપાય કેમ કરીને ?’ મેં કહ્યું, ‘ભઈ, એ તો પરમિટ બતાડીને લઈ ગયા !’ ત્યારે એ કહે, ‘એણે ખોટું કહ્યું, આ તો તમને એણે ફસાવ્યા.’ ત્યારે મેં કહ્યું, ‘ભાદરણમાં અમુક નામ છે ?’ એ ખબર આપી. તે લોકોએ તપાસ કરી. મામલતદારે પેલા લોકોને ટૈડકાવ્યા. તો તે કહે છે, ‘અમે લાવ્યા જ નથી ને !’ એટલે મામલતદારે અહીં કહેવડાવ્યું એટલે પછી આ સરકારના લોકો કહે છે, આ લોકોએ વેચી ખાધાં ! એટલે અમારી ઉપર વોરંટ કાઢ્યું. મુખ્ય ભાગીદાર તરીકે તો અંબાલાલ મૂળજીભાઈ પટેલને ત્યાં પોલીસવાળો આવ્યો. હું અંદર બેઠેલો. પોલીસવાળો કહે છે, ‘અંબાલાલ મૂળજીભાઈ છે ?’ મેં કહ્યું, ‘હા, હું છું.’ સાંજના સાડા પાંચ વાગેલા. હું તો ગયો એની જોડે ત્યારે ત્યાં ફોજદાર નાની ઉંમરનો બેઠેલો. ત્રીસ વર્ષની ઉંમરનો હતો. મેં કહ્યું, ‘શું નામ (પા.૧૯૭)આપનું ?’ ત્યારે એ કહે, ‘અહમદમિંયા.’ તે મને કહે છે, ‘તમે કેમ ફસાઈ ગયા છો ?’ મેં તેમને કહ્યું, ‘તમને શી રીતે ખબર પડી કે હું ફસાયો છું ?’ ત્યારે એ કહે, ‘અમે તમને ના ઓળખીએ ? બિલાડીને ઉંદરની ગંધ આવે કે ના આવે ?’ ‘આવે.’ ‘તેમ અમને ચોરની ગંધ આવે.’ એવું એણે કહ્યું. ‘તમે ચોરી નથી કરી. તમે ચોરી કરી હોય તો અમને ગંધ આવે કે આ માણસે ચોરી કરી છે !’ મેં કહ્યું, ‘પણ સાહેબ અમે ફસાયા છીએ. શું થાય તે ?’ ત્યારે એ કહે, ‘તમે થોડીવાર બેસો. હું નમાજ પઢી આવું.’ તે પછી નમાજ પઢીને આવ્યા. તેમણે ચા મંગાવી. ચાના પૈસા મેં આપવા માંડ્યા ત્યારે એ કહે, ‘તમારે નહીં આપવાના.’ મેં કહ્યું, ‘સાહેબ, કામ મારું ને ઊલટાં મને ચા પાઓ છો ?’ પછી એ કહે, ‘તમે ફસાયા છો એવું મને લાગ્યું માટે હવે કંઈ રસ્તો કરી આપું.’ ‘તમે રસ્તા કાઢો છો ?’ ત્યારે એ કહે, ‘સિટી મામલતદારને ખબર આપો કે તમે ફોજદાર પાસેથી આ બિનવારસી મિલકત મંગાવી લો. તો પછી એની પાસે કેસ બધા જાય. પછી આ ફોજદારી ગુનો ઊડી જાય તમારો !’ મિંયાભાઈને મેં કહ્યું, ‘તમને હું ચોર નથી એ શી રીતે ઓળખાણ પડી ? કો’કે મારા ગજવામાં વીંટી નાખી હોય તો તમે શું કરો ?’ ત્યારે એ કહે, ‘અમે તરત જાણી જઈએ કે તમે ચોરી નથી કરી. આ કો’કે નાખેલી છે. ઉંદર-બિલાડી જેવું, ગંધ આવે. ડાકુ જેવી આંખ ઓળખતા નહીં હોય લોક ? આની આંખ ડાકુ જેવી છે, આની આંખ છે તે ચારિત્ર્યનો ફેલ(નાપાસ) છે, એવું નથી ઓળખાતું ? અને અમારી આંખમાં વીતરાગતા દેખાય. બધા જુએ ને કે કોઈની પર રાગેય ના થાય ને દ્વેષેય ના થાય. પ્રશ્નકર્તા : પછી આગળ શું થયું ? દાદાશ્રી : પછી એવું થયું કે હું ઘેર આવ્યો. ત્યાં એક અંબુભાઈ પાઠક કરીને ભાઈ આવેલા. તે ડિપ્લોમા થયેલો, તે મારી પાસે કોન્ટ્રાક્ટના અનુભવની લાઈન શીખતો હતો. એટલે એ રોજ આવે. તે આવીને બેઠેલો. મેં એને કહ્યું, ‘કેમ પાઠક કેમ ? ક્યારના આવ્યા છો ?’ એણે મને કહ્યું, ‘તમે ક્યાં ગયા હતા ?’ મેં કહ્યું, ‘આવી ફસામણ હતી, તે ત્યાં ગયા હતા. હવે અહીં સિટી મામલતદારને ત્યાં જવું પડશે.’ તે પાઠક મને કહે, ‘મારા કાકા પરમ દા’ડે જ નવસારીથી અહીં મામલતદાર તરીકે (પા.૧૯૮)આવ્યા. શું કામ છે તમારે ?’ મેં કહ્યું, ‘આવું કામ છે.’ ત્યારે એ કહે, ‘એ તો કરી આવીશ, તમારું કામ !’ મેં કહ્યું, ‘અલ્યા, આ તો બહુ ગોટાળિયું કામ છે, મને જાતે આવવા દે.’ ‘ત્યારે એ કહે, ‘ગમે તેવું ગોટાળિયું કામ હશે તોય હું કાકાને કહી દઈશ.’ ને એણે તો એના કાકાને કહી દીધું કે કંઈક રસ્તો કાઢો ! જેટલા હજાર-બારસો ભરવાના હશે તો ભરી દઈશ.’ ત્યારે એના કાકા કહે, ‘ચાર આનાય નહીં !’ ને એમણે કેસ જ કાઢી નાખ્યો ! એમને બધું આવડે. એ તો આપણો ગુનો હતો જ નહીં ને આવો તો અહંકાર કર્યો કે લો, અમારા કારખાનામાં પતરાં મૂકો. કશો વાંધો નહીં. એના આ ધક્કા ખાવા પડ્યા. કંઈ દાનત ખોરી ન હતી. પ્રશ્નકર્તા : પણ દાદા, કોઈ આપણી પાસે આવી રીતે હેલ્પ માંગવા આવા કે ભાઈ, આ અમને હેલ્પ કરો, મૂકવા દો, તો તેને મૂકવા દેવું કે નહીં ? દાદાશ્રી : અરે, મૂકવા દેવું હોય તો બોંબ મૂકીને જાય, અત્યારે તો ! મને હઉ લોકો કહે છે કે બોંબ મૂકી જાય, પણ મેં કહ્યું, ‘ભાઈ હવે મૂકી જાય એનું શું થાય તે ? જે થશે એ ખરી ! છેવટે કર્મના ઉદય હશે તો જ મુકાશે ને ! આ કંઈ દુનિયા ન્યાયમાં છે કે અન્યાયમાં ? પ્રશ્નકર્તા : ન્યાયમાં. દાદાશ્રી : એટલે ગભરાવું નહીં. તેમ મૂકવા દેવું એવોય નિશ્ચય નહીં રાખવો અને નહીં મૂકવા દેવું એવોય નિશ્ચય નહીં રાખવો અને પેલો નિશ્ચય કરીએ તો આ બાજુ પડીએ અને આ નિશ્ચય કરીએ તો પેલી બાજુ પડીએ ! વચ્ચે મોક્ષનો માર્ગ ! ઉઘરાણી, સહજ પ્રયત્નેધંધો તમે જ ચલાવો છો બધું ? પ્રશ્નકર્તા : હા, જી. દાદાશ્રી : હા, ઉપાધિ નથી આવતી પોતાને ? (પા.૧૯૯)પ્રશ્નકર્તા : ના, એવું કંઈ નથી આવતું. દાદાશ્રી : સરસ મજા આવે છે ? આયે પુણ્ય જ છે ને કશી મુશ્કેલી વગર ! તેથી અમે કહીએ છીએ કે આપણી પુણ્યનું ખાવ. પુણ્ય કોનું નામ ? ઘેર સવારના સાડા પાંચ વાગ્યે ઉઠાડે કે ‘ભઈ, અત્યારે બંગલો બંધાવવો છે, ને એનો કોન્ટ્રેક્ટ તમને આપવો છે !’ આવું ‘વ્યવસ્થિત’ છે ! જો ધણી દોડધામ ન કરતો હોય તોય ‘વ્યવસ્થિત’ ધણીને ઉઠાડવા આવે અને ધણી દોડધામ કરતો હોય, બંગલો બંધાવવા સારું, તો વ્યવસ્થિત શું કહેશે કે ‘થાય છે હવે !’ આ ‘વ્યવસ્થિત’ની બહાર કશું થાય એવું નથી. છતાં આપણે ‘વ્યવસ્થિત’નો અર્થ એવો ના કરવો જોઈએ કે આપણે સૂઈ રહો. બધું થઈ જશે. જો ‘વ્યવસ્થિત’ કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. છતાં પ્રયત્નો તે તો ‘વ્યવસ્થિત’ કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી શું ઇચ્છા હોવી જોઈએ ? પ્રયત્ન કરવાની. પછી ‘વ્યવસ્થિત’ જેટલા કરાવે એટલા પ્રયત્ન. પ્રયત્નમાં પછી, દસ વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા. પેલો ભઈ ભેગો ના થયો, તો પછી બાર વાગ્યે ગયા, તોય ભેગો ના થયો, તો પછી ઘેર આવીને ફરી પાછા દોઢ વાગ્યે જઈએ, એવું નહીં કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તો કેટલા ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો જડે નહીં, પણ આપણે પાછાં હેંડતી વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ને થાય. સહેજાસહેજ હિસાબ બધો ગોઠવાયેલો કારણ કે અમારે ડખો નહીં ને કોઈ જાતનો ! તો ઘેર બેઠાં લેણું મળેખરી રીતે તો એવું છે કે તમારું વિચારેલું નકામું નહીં જાય. તમારું બોલેલું નકામું જાય નહીં. તમારું વર્તન નકામું જાય નહીં. અત્યારે તો લોકોનું બધું કેવું જાય છે ? કશું ઊગતું નથી. વાણીય ઊગતી નથી. (પા.૨૦૦)વિચારોય ઊગતા નથી. ને વર્તનેય ઊગતું નથી. ત્રણ ત્રણ વખત ધક્કા ખાય તોય ઉઘરાણીવાળો મળે નહીં. તે વખતે મળે તો પેલો દાંતિયા કરે, આમ તો કેવું છે કે ઘેર બેઠાં નાણું આપવા આવે એવો આ માર્ગ છે. પાંચ-સાત વખત ઉઘરાણી કરી હોય ને છેવટે કહે કે મહિના પછી આવજો, તે ઘડીએ તમારાં પરિણામ ના બદલાય તો ઘેર બેઠાં નાણું આવે. તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ?’ ‘આ તો અક્કલ વગરનો છે. નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો.’ એવાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ તો પેલો ગાળો દે. તમારાં પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તોય બગડે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે જ સામાને બગાડીએ છીએ ? દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એને સુધારવાનો રસ્તો શો ? સામો ગમે તેટલું દુઃખ દેતો હોય, પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે, એ એને સુધારવાનો રસ્તો. આમાં આપણુંય સુધરે ને એનુંય સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં. એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું, એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું કે એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં. ને એ ભૂત વળગેઅને ઉઘરાણીમાં કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોયને ના આપતો હોય તો પછી ઠેઠ સુધી એની પાછળ હેંડ હેંડ ના કર્યા કરવું. એ વેર બાંધે ! ને જાય ભૂતમાં તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો, એમાં એનો શું ગુનો બિચારાનો ? હોય ને નથી આપતા લોકો ? પ્રશ્નકર્તા : હોય ને ના આપતા હોય તો શું કરવું ? દાદાશ્રી : હોય ને ના આપે તેનેય શું કરીએ આપણે તે ? દાવો માંડીએ બહુ ત્યારે ! બીજું શું ? એને મારીએ તો પોલીસવાળા આપણને (પા.૨૦૧)પકડી જાય ને ? નહીં તો છોડી દઈએ કે ભઈ, હશે તો આવશે, નહીં આવે તો ગયું. તો આ વકીલનું ભૂત તો ના ઘાલવું પડે ને ! પ્રશ્નકર્તા : પણ છોડાતું નથી આપણે. સામો માણસ એવી રીતે ફરતો જાય કે આપણને છોડી દેવાનું મન ના થાય. દાદાશ્રી : મન ના થાય તો વકીલનું ભૂત ઘાલે પાછું અને વકીલ કહેશે, ‘હંઅ, સાડા નવે કહ્યું હતું તે પાછા પંદર પંદર મિનિટ મોડા થયા ? ‘અક્કલ વગરના છો, ગધેડા છો, કૂતરા છો !’ મેર ચક્કર, ફી આપણે આપવાની ને ગાળો ભાંડે ઉપરથી ! એટલે આપણે ગભરાવું નહીં. અને તે ઘડીએ આપણે વકીલને શું કહેવું જોઈએ કે ‘સાહેબ તમારે ને મારે કંડિશન ફીની છે. હું તમને ફી આપુ ને તમે દાવો લઢો. બીજી કોઈ કંડિશન ગાળની નથી. આ એકસ્ટ્રા આઈટમ કરો છો તેનો દાવો માંડીશ,’ એવું કહીએ, એક્સ્ટ્રા આઈટમ કહેવાય. પ્રશ્નકર્તા : ના જવું એ જ વધારે સારું ! દાદાશ્રી : કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાહ્યો માણસ હોય તે કોર્ટમાં ના જાય. મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવાં ભૂતાંને પાછાં ના બોલાવે. વગર કામનાં ભૂતાં પજવ પજવ કરે. હજુ જીતવાનું તો જીતાશે ત્યારે પણ તે પહેલાં તો ‘અક્કલ વગરના છો, ગધેડા !’ કહેશે. આ અક્કલના કોથળા ! અને આ માણસ ! ગધેડો નહીં ! બધે આવું બોલાય ? આપણે ત્યાં પેલા ભક્ત છે ને, વકીલ, તે કહે છે, અમે ય એવું બોલીએ છીએ. અલ્યા કઈ જાતના નંગોડ છે તે ? એ તો સારું છે, બિચારા માણસો સુંવાળા તો સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને, તો શું કરો ? અમારા ભાગીદાર એક વકીલને ત્યાં ગયા હતા. તે એમનો કેસ જલદી ચલાવ્યો નહીં, પણ પૈસા આપી આવેલા. ત્યારે કહે, સાહેબ, પૈસા મને પાછા ન આપશો. પણ મારો કેસ પાછો આપો ત્યારે પેલાએ શું (પા.૨૦૨)કહ્યું ? ‘કૂતરું કૈડાવીશ, જો ફરી આવ્યા છો તો ?’ શું થાય તે ? તે પછી મહાપરાણે કેસ લઈ આવ્યા પાછા. એની પાસેથી પૈસા ના લીધા. મહાપરાણે સમજાવી-પટાવીને કેસ લઈ આવ્યા. પાછા બીજા વકીલને કેસ આપ્યો. એ જૈન હતા ને મોટા પ્રખર હતા. ત્યાં આગળ કેસ આપી આવ્યા. ત્યાં આગળ નવને બદલે સવા નવ થયા ત્યારે વકીલ કહે છે, ‘તમે કૂતરા જેવા છો, ગધેડા જેવા છો, મારો ટાઈમ બગાડ્યો.’ ત્યારે આ ભાઈ કહે છે, ‘તમે જૈન થઈને આવું બોલો છો ? તો બીજા લોકો શું બોલશે ? મુસલમાનો બધા શું બોલશે ? આવી શર્ત છે ?’ વકીલ કહે, ‘તમે મને જગાડ્યો, તમે મને જગાડ્યો, જૈન થઈને ના બોલાય મારાથી. પણ આ તો બોલી દેવાય છે મારાથી.’. અમારા ભાગીદારે એવું કહ્યું, કે ‘જૈન થઈને શું બોલો છો આ તમે ? જૈનનાં આવાં લક્ષણ હોય ? જૈન તો કેવી ડહાપણવાળી વાણી બોલે ? હોય લક્ષણ એવાં ? વૈષ્ણવનાં એવાં લક્ષણ હોય ? એમ કૈડવા જાય ?’ આ તો બાયડી જોડે વઢવાડ થાય. તેમાં મારી ઉપર શું કાઢે છે રીસ ? વઢવાડ બાયડી ઉપર અને રીસ આપણી ઉપર કાઢે ! પ્રશ્નકર્તા : આવી રીતે વર્તીએ તો અસીલો અમને ખરી હકીકત કહે નહીં ને કોર્ટમાં મરી જઈએ, કોઈ વખત એવું કહે છે. દાદાશ્રી : બહાનાં કાઢે છે એ ! પછી કરાવે વસૂલ કુદરતતમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી ત્રણ કે ચાર વર્ષ થઈ જાય, તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે, પણ નેચરનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને ! નેચરના કાયદામાં રકમ વ્યાજ સાથે પાછી આપે છે. અહીંના કાયદામાં કશું ના મળે, આ તો સામાજિક કાયદો છે. પણ પેલા નેચરના કાયદામાં તો વ્યાજ સાથે મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા ત્રણસો ના આપતું હોય તો આપણે એની પાસેથી લેવા જઈએ. પાછા લેવા માટે કારણ શું છે ? કે આ ભાઈ રકમ જ નથી આપતો તો કુદરતનું વ્યાજ તો કેટલુ ંબધું હોય. સો-બસ્સો વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય.. ?! એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લઈ લેવા જોઈએ. એટલે બિચારો એટલો (પા.૨૦૩)બધો જોખમમાં તો ના ઊતરે. પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઊતરે તેના આપણે પછી જોખમદાર નથી. પ્રશ્નકર્તા : કુદરતના વ્યાજનો દર શું છે ? દાદાશ્રી : નેચરલ ઈન્ટરેસ્ટ ઈઝ વન પર્સન્ટ પર બાર મહિને. એટલે સો રૂપિયે એક રૂપિયો ! વખતે તે ત્રણસો રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે કહીએ કે હું ને તું બે દોસ્ત. આપણે પત્તા સાથે રમીએ. કારણ કે આપણી રકમ કશી જવાની તો નથી ને ! આ નેચર એટલી બધી કરેક્ટ છે કે તમારો વાળ એકલો જ ચોરી લીધો હશે, તો યે પણ એ જવાનો નથી. નેચર બિલકુલ કરેક્ટ છે. પરમાણુ પરમાણુ સુધીનું કરેક્ટ છે. માટે વકીલ રાખવા જેવું જગત જ નથી. મને ચોર મળશે, બહારવટિયો મળશે એવો ભય પણ રાખવા જેવો નથી. આ તો પેપરમાં આવે કે આજે ફલાણાને ગાડીમાથી ઉતારીને દાગીના લૂંટી લીધા, ફલાણાને મોટરમાં માર્યા ને પૈસા લઈ લીધા. ‘તો હવે સોનું પહેરવું કે ના પહેરવું ?’ ડોન્ટ વરી ! કરોડ રૂપિયાનાં રત્નો પહેરીને ફરશો તોય તમને કોઈ અડી શકે એમ નથી. એવું આ જગત છે. અને તે બિલકુલ કરેક્ટ છે. જો તમારી જોખમદારી હશે તો જ તમને અડશે. તેથી અમે કહીએ છીએ કે તમારો ઉપરી કોઈ બાપોય નથી. માટે ‘ડોન્ટ વરી !’ (ચિંતા કરશો નહીં) નિર્ભય થઈ જાવ ! ને આમ હિસાબ ચૂકવાયપ્રશ્નકર્તા : એક માણસને આપણે પાંચસો રૂપિયા આપ્યા ને રૂપિયા પેલો પાછા આપી ન શક્યો. અને બીજું, આપણે પાંચસો રૂપિયાનું દાન કર્યું તો આ બેમાં શું તફાવત ? દાદાશ્રી : આ દાન કર્યું એ જુદી વસ્તુ છે. એમાં દાન લે છે એ દેવાદાર બનતો નથી. તમારા દાનનો બદલો તમને બીજી રીતે મળે છે. દાન લેનાર માણસ એ બદલો નથી આપતો. જ્યારે પેલામાં તો તમે જેની પાસે રૂપિયા માગો છો, તેની મારફતે જ તમને અપાવવું પડે છે. પછી છેવટે દહેજરૂપે પણ એ રૂપિયા આપશે. આપણામાં નથી કહેતા ? કે છોકરો છે ગરીબ કુટુંબનો પણ, કુટુંબ ખાનદાન છે. એટલે પચાસ હજાર (પા.૨૦૪)એને દહેજ આપો ! આ શેની દહેજ આપે છે ! આ તો જે માંગતું છે એ જ આપે છે. એટલે આવો હિસાબ છે બધો. એક તો છોડી આપે છે ને રૂપિયા પણ આપે છે. એટલે આમે બધો હિસાબ ચૂકવાઈ જાય છે. એમાં ભેળસેળનો ભયંકર ગુનોતમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો, જે ઇમ્પોસિબલ હોય તે નહીં કરતા. પ્રશ્નકર્તા : એ નીતિનાં ધોરણ કહેવાં કોને ? દાદાશ્રી : નીતિનું ધોરણ એટલે તમને સમજાવું. અહીં મુંબઈના એક વેપારી હતા, તે ઘઉંના જ્યારે બહુ ભાવ વધ્યા હતા ને, ત્યારે એ વેપારી એક વેગન ઈંદોરી ઘઉં મંગાવે અને એક વેગન રેતી મંગાવે, બેઉ ભેગું કરીને પછી કોથળા ફરી ભરે. બોલો, હવે એ નીતિ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ નીતિ-અનીતિના તો ઘણા સૂક્ષ્મ ભેદો હોય છે, તે ખબર ના પડે. દાદાશ્રી : બીજા બધામાં અનીતિ આપણે જોવાની જરૂર નથી, પણ માણસોને ખાવાની વસ્તુઓ હોય છે, માણસોના શરીરમાં જે જવાની વસ્તુઓ હોય છે, ખોરાક કે દવા, એને માટે તો આપણે બહુ જ નિયમો રાખવા જોઈએ. એવું છે ને કે તમે છેતરીને ચાલીસ રતલને બદલે સાડા ત્રીસ રતલ આપો, પણ ચોખ્ખું આપો તો તમે ગુનેગાર નથી, અથવા તો ઓછા ગુનેગાર છો, અને જે માણસ, ભેળસેળ કરીને ચાલીસ રતલ પૂરું આપે છે એ બહુ જ ગુનેગાર છે. ભેળસેળ ના કરો. ભેળસેળવાળું આપ્યું ત્યાં ગુનો છે. માનવજાતિ ઉપર ભેળસેળ ના હોવું જોઈએ. પ્રશ્નકર્તા : હું તો મારી અંગત રીતે માનું છું કે જેનાથી આપણો આત્મા દુભાય છે એ કાર્ય ના કરવું જોઈએ. દાદાશ્રી : જ્યાં તમારા આત્માને દુઃખ થાય છે એ કાર્ય ના કરવું. (પા.૨૦૫)બાકી માણસના શરીરને દુઃખ થાય, ભેળસેળ કરે, દૂધમાં બીજું ભેળસેળ, તેલમાં બીજું ભેળસેળ, ઘીમાં બીજું ભેળસેળ, તે કેવું કેવું અત્યારે ભેળસેળ કરવા માંડ્યું છે, એ બધું ન હોવું ઘટે. ધર્મનો પાયોધંધામાં અણહક્કનું નહીં. ને જે દહાડે અણહક્કનું લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. ભગવાન હાથ ઘાલતા જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણ વરસ, બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તોય છૂટશો. વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ, નીતિ હશે ને પૈસા ઓછા હશે તો પણ તમને શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હશે તોય અશાંતિ રહેશે. નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે ! અનીતિ પણ, નિયમથી...પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાંથી ૧૯૩૬ નંબરનું સૂત્ર છે. વ્યવહાર માર્ગવાળાને અમે કહીએ છીએ કે સંપૂર્ણ નીતિ પાળ, તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તોય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે. એ જરા આપની પાસેથી સમજવું છે. દાદાશ્રી : આ પુસ્તકમાં, આપ્તસૂત્રમાં બધાં વાક્યો લખેલાં છે ને, એ ત્રણેય કાળ સત્યવાળા છે. આ વાક્યમાં હું શું કહું છું કે સંપૂર્ણ નીતિથી ચાલજો. પછી બીજું વાક્ય શું કહ્યું કે તેમ ન બને તો થોડી ઘણી નીતિ પાળજે ને નીતિ ના પળાય તો અનીતિ ના પાળીશ. અનીતિ પાળે તો નિયમથી અનીતિ પાળજે. એટલે બધી છૂટ આપી છે ને ? અનીતિ પાળવાની છૂટ, આ વર્લ્ડમાં મેં એકલાએ જ આપી છે ! એટલે અનીતિ પાળવાની હોય તો નિયમસર પાળજે કહ્યું. આપને સાંધો મળ્યો નહીં ?! આમાં એવું કહે છે કે સંપૂર્ણ નીતિ પળાય તો પાળ અને એ ના (પા.૨૦૬)પળાય તો નક્કી કર કે દહાડામાં મારે ત્રણ નીતિ તો પાળવી છે. અને નહીં તો નિયમમાં રહીને અનીતિ કરું તો એ પણ નીતિ છે. જે માણસ નિયમમાં રહીને અનીતિ કરે છે એને હું નીતિ કહું છું. ભગવાનના પ્રતિનિધિ તરીકે, વીતરાગોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અનીતિ પણ નિયમમાં રહીને કર, એ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અનીતિ કરે કે નીતિ કરે તેનો મને સવાલ નથી, પણ નિયમમાં રહીને કર. આખા જગતને જ્યાં આગળ તેલ કાઢી નાખ્યું ત્યાં આગળ અમે કહ્યું કે આનો વાંધો નથી, તું તારે નિયમમાં રહીને કર. હવે અત્યારે કળિયુગ છે, તે કહેશે કે, સાહેબ મારાથી આ થતું નથી, નીતિ પળાતી નથી. ત્યારે હું કહું કે, ‘તું નિયમસર પાળ, દહાડામાં બે-ત્રણ નીતિ પાળવી છે, જા તારા મોક્ષની ગેરન્ટી અમે લખી આપીએ છીએ. હા, વળી નીતિ ના પળાય ત્યારે શું અનીતિ જ પાળ પાળ કરવી ? ના એ તો હપૂચું ઊંધું ચાલ્યું, એટલે કહ્યું કે અનીતિ જો તું નિયમથી પાળીશ તો મોક્ષે જઈશ. હવે આવી વિચિત્ર વાત કરે કોઈ ? એ રીત અધોગતિનીપ્રશ્નકર્તા : દાદા, નિયમમાં રહીને અનીતિ શી રીતે પાળવી ? એનો દાખલો આપી સમજાવો ને ! દાદાશ્રી : હા, એ તમને સમજણ પાડું. એક શેઠને કાપડની દુકાન, તે કપડું આમ ખેંચી ખેંચીને આપતા હતા, ત્યારે મેં કહ્યું કે, ‘આવું શું કરવા કરો છો ? ત્યારે કહે છે કે, ‘ચાળીસ મીટરમાં આટલું વધે છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘પછી આનો શું દંડ મળશે તે જાણો છો ? અધોગતિમાં જવું પડશે ! ચાળીશ મીટરનો ભાવ લીધો તો આપણે ચાળીસ મીટર આપી દેવાનું, એમાં ખેંચવાની જરૂર નથી.’ ત્યારે કહે છે, ‘તો તો અમને બરોબર નફો રહેતો નથી.’ ત્યારે મે કહ્યું કે, ‘જરા ભાવ વધારે રાખો.’ ત્યારે એ કહે છે કે, ‘ઘરાક બીજી જગ્યાએ જતો રહે છે, એટલે વધારે ભાવ લેવો હોય તો લેવાય જ નહીં ને ! (પા.૨૦૭)આપણે આને અનીતિ કહીએ છીએ. હવે કાળો બજાર કરવો હોય, પણ ખૂટતું હોય તો એટલા પૂરતું જ દહાડામાં દસ-પંદર રૂપિયા વધારાના લઈ લે, બીજાં પચ્ચીસ વધારે આવે તોયે લે નહીં. એ અનીતિ કરી, પણ નિયમથી કહેવાય એટલે કહ્યું ને, કે અનીતિ કરવી પડે તોય નિયમથી કરજે. આમ નિયમ બાંધોપ્રશ્નકર્તા : એટલે તું પૈસા વધારે લે, પણ માલ ઓછો ના આપીશ એવો અર્થ થયો ? દાદાશ્રી : ના, એવું નથી કહેતા, આપણે તો એમ કહ્યું છે કે અનીતિ કર પણ નિયમથી કરજે. એક નિયમ બાંધ કે ભઈ, મારે આટલી જ અનીતિ કરવી છે, આથી વધારે નહીં. રોજ દસ રૂપિયા દુકાને વધારે લેવા છે, એથી વધારે પાંચસો રૂપિયા આવે તોય મારે નથી લેવા. એમ માનો ને, કોઈ ઈન્કમટેક્સ ઓફિસર હોય, એની વાઈફ રોજ લઢલઢ કરતી હોય કે, ‘આ બધાંએ લાંચ લઈ લઈને બંગલા બાંધ્યા ને તમે લાંચ લેતા નથી. તમે આવા ને આવા રહ્યા.’ એટલે ઘણી વખત તો છોકરાની સ્કૂલની ફી પણ ઉછીની લાવવી પડે. એને મનમાં ઇચ્છા થાય કે બસ્સો-ત્રણસો રૂપિયા ખૂટે છે, એટલા મળે તો આપણને શાંતિ રહે, પણ આમ લાંચ લેવાય નહીં. એટલે શું થાય ? અને એ પણ મનમાં ડંખે ને ? તો અમે એને કહીએ કે, ‘લાંચ લેવી હોય તો તું નક્કી કર ને કે મારે મહિને પાંચસો રૂપિયાથી વધારે લેવી નહીં. પછી દસ હજાર રૂપિયા આવે તો પણ મારે ખપે નહીં.’ તારે મહિને જેટલા ખૂટે છે એટલા તું લેવાનું નક્કી કર. હવે તું આ અનીતિ કરે છે પણ નિયમથી કરે છે. નિયમમાં રહીને અનીતિ પાળી શકાય છે અને અનીતિ નિયમમાં રહીને કરે તો મને વાંધો નથી. આ નિયમ જ તને મોક્ષે લઈ જશે. અને આની જોખમદારી તારી નથી. પણ નિયમથી કરે તો બહુ થઈ ગયું. અનીતિ કોઈ દહાડોય રહે નહીં. કારણ કે અનીતિ કરવા ગયો કે એ વધતો જ જાય અને એ અનીતિ નિયમથી કરે તો એનું કલ્યાણ થઈ જાય. (પા.૨૦૮)આ અમારું ગૂઢ વાક્ય છે. આ વાક્ય જો સમજાય તો કામ થઈ જાયને ? ભગવાન પણ ખુશ થઈ જાય કે પારકી ગમાણમાં ખાવું છે અને તે પાછો પ્રમાણસર ખાય છે ! નહીં તો પારકી ગમાણમાં ખાવું ત્યાં પછી પ્રમાણ હોય જ નહીં ને ! આપની સમજમાં આવે છે ને ? કે અનીતિનો પણ નિયમ રાખ, હું શું કહું છું કે, ‘તારે લાંચ લેવી નથી, અને તને પાંચસો ખૂટે છે, તો તું કકળાટ ક્યાં સુધી કરીશ ?’ લોકો, ભાઈબંધો પાસે ઉછીના રૂપિયા લે છે તેથી વધારે જોખમ વહોરે છે, એટલે હું એને સમજણ પાડું કે ‘ભઈ, તું અનીતિ કર, પણ નિયમથી કર.’ હવે નિયમથી અનીતિ કરે એ નીતિવાન કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે નીતિવાનના મનમાં રોગ પેસે કે, ‘હું કંઈક છું’, જ્યારે આના મનમાં રોગ પણ ના પેસે ને ? આવું કોઈ શીખવાડે જ નહીં ને ? નિયમથી અનીતિ કરે એ તો બહુ મોટામાં મોટું કાર્ય છે. પછી જોખમદારી ‘અમારી’અનીતિ પણ નિયમથી કરે છે તો એનો મોક્ષ થશે, પણ જે અનીતિ નથી કરતો, જે લાંચ નથી લેતો તેનો મોક્ષ શી રીતે થાય ? કારણ કે જે લાંચ લેતો નથી તેને ‘હું લાંચ લેતો નથી’ એ કેફ ચઢી ગયેલો હોય. ભગવાન પણ એને કાઢી મેલે કે ‘હેંડ જા, તારું મોઢું ખરાબ દેખાય.’ એથી અમે લાંચ લેવાનું કહીએ છીએ એવું નથી. પણ જો તારે અનીતિ જ કરવી હોય તો તું નિયમથી કરજે. નિયમ કર કે ભઈ, મારે લાંચના પાંચસો જ રૂપિયા લેવા. પાંચસો રૂપિયાથી વધારે કંઈ પણ આપે, અરે, પાંચ હજાર આપે તોય બધા કાઢવાના. આપણને ઘરખર્ચમાં ખૂટતા હોય એટલા પાંચસો રૂપિયા જ લાંચના લેવા. બાકી, આવી જોખમદારી તો અમે જ લઈએ છીએ. કારણ કે આવા કાળમાં લોકો લાંચ ના લે, તો શું કરે બિચારો ? તેલ-ઘીના ભાવ કેટલા ઊંચા ચઢી ગયા છે, સાકરના ભાવ કેટલા ઊંચા છે ? ત્યારે છોકરાની ફીના પૈસા આપ્યા વગર રહેવાય ? જુઓને, તેલના ભાવ કંઈ સત્તર રૂપિયા કહે છે ને ? (પા.૨૦૯)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે કાળા બજાર વેપારીઓ કરે છે તેનું ચાલે અને નોકરોનું કોઈ ઉપરાણું લેનારો જ ના રહ્યો ?! એટલે અમે કહીએ છીએ કે લાંચ પણ નિયમસર લેજે. તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. લાંચ નથી નડતી, અનિયમ નડે છે. ત્યાં નીતિ-અનીતિ નથીપ્રશ્નકર્તા : અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને ? દાદાશ્રી : આમ એ તો ખોટું જ કહે છે ને ! પણ ભગવાનને ઘેર તો જુદી જ જાતની વ્યાખ્યા છે. ભગવાનને ત્યાં તો અનીતિ કે નીતિ ઉપર ઝઘડો જ નથી. ત્યાં આગળ તો અહંકારનો વાંધો આવે છે. નીતિ પાળનારાઓને અહંકાર બહુ હોય. એને તો વગર દારૂએ કેફ ચઢેલો હોય. પ્રશ્નકર્તા : પણ હમેશાંય એવું ના બને ને ? દાદાશ્રી : ના, કારણ કે એ સિવાય નીતિ પાળી શકે જ નહીં ને ! કેફમાં જ નીતિ પાળે, અને એનો કેફ નિરંતર વધતો જ જાય ! છતાં એ કેફમાં રહીને પણ નીતિ પાળે છે એટલે પુણ્ય સારું બંધાય ને સારી ગતિ થાય. એને સારા માણસો સંતો મળી આવે. જ્ઞાનીઓ પણ આગળ ઉપર મળી આવે. એટલે એ ખોટું નથી. એ ખોટું છે એવું મારે કહેવું પણ નથી. પણ ભગવાનને ત્યાં તો અહંકાર નડે છે. હવે પેલાં, જે નિયમથી અનીતિ પાળે છે તેને અહંકાર ના હોય. અને પાંચ હજાર આવે છતાં એ લેતો નથી, ત્યારે એ પ્રામાણિકતા કહેવાય ? ના, જ્યારે જે નિયમથી લાંચ લે છે, એ તો કંઈ જેવી તેવી પ્રામાણિકતા ના કહેવાય ! કારણ કે આ જ ત્રણ કોળિયા ખાવાના, ચોથો કોળિયો નહીં ખાવાનો. તો એવું માણસથી કંટ્રોલ રહી શકે જ નહીં. ખાધા પછી અટકી શકે જ નહીં, એની મેળે પૂરું થાય ત્યારે અટકે ! આ વાત સમજણ પડે છે ને ? (પા.૨૧૦)ત્યાં નિર્અહંકારીની કિંમતએટલે નિયમસર અનીતિ કરે તેનો મોક્ષ પેલા નીતિવાળા કરતાં પહેલો થાય. કારણ કે નીતિવાળાને નીતિ કર્યાનો કેફ હોય કે, ‘મેં નીતિ આખી જિંદગી પાળી છે અને એ તો ભગવાનને પણ ગાંઠે નહીં. એવો હોય, જ્યારે અનીતિ કરી એટલે આને બિચારાને તો કેફ ઊતરી ગયેલો હોય ને ! એને કેફ જ ના ચઢે. કારણ કે એણે તો અનીતિ કરીને તે જ એને મહીં ડંખ્યા કરે. અને જે પાંચસો રૂપિયા લીધા એનો પણ એને કેફ ના ચઢે. કેફ તો નીતિવાળાને ખરેખરો ચઢે અને એને તો આમ જરા છંછેડીએ ને તો તરત ખબર પડે, ફેણ માંડીને ઊભો રહે, કારણ કે એને મનમાં એમ કે, ‘અમે કંઈક કર્યું છે, આખી જિંદગી મેં નીતિ પાળી છે !’ પ્રશ્નકર્તા : હવે પાંચસો રૂપિયાની લાંચ લેવાની છૂટ આપી તો પછી જેમ જરૂરિયાત વધતી જાય તો પછી એ રકમ પણ વધારે લે તો ? દાદાશ્રી : ના, એ તો એક જ નિયમ પાંચસો એટલે પાંચસો જ, પછી એ નિયમમાં જ રહેવું પડે. એક દારૂ ના પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ પીવાનો અહંકાર કરે છે, તો મોક્ષ કોનો થાય ? ત્યારે ભગવાન બેઉને કાઢી મેલે ! એ તો શું કહે છે કે, ‘અમારે અહીં તો નિર્અહંકારીની જરૂર છે.’ ભગવાન તો શું કહે છે, ‘નીતિ તો તને સંસારમાં સુખ પડે એટલા માટે પાળવાની છે. બાકી અમારે નીતિ-અનીતિની કશી ભાંજગડ જ નથી. તને દુઃખ સહન થતું હોય તો અનીતિ કરજે.’ અનીતિથી દુઃખ જ પડે ને ? કોઈને દુઃખ આપ્યા પછી આપણને પણ દુઃખ પડે. આ તો તને સુખ પડે એટલા હારુ નીતિ પાળવાની છે. આજ્ઞામાં રહીને કરો તો જપ્રશ્નકર્તા : પણ અનીતિ કરે તો એને ટેવ પડી જાય ને ? દાદાશ્રી : ટેવ પડી જાય, એમ ? ના. એટલે કહ્યું ને, કે અનીતિ કરો પણ નિયમસર કરો. કોઈ પણ વસ્તુ નિયમસર કરવામાં આવે અને (પા.૨૧૧)તે પણ જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક હોય તો તો એ કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : એને અનીતિની ટેવ પડી, પછી તો એને નિયમ ના રહે ને ? દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં ને ? અને અમારી જવાબદારી પણ નહીં ને ! આ તો શું કહ્યું કે તને પાંચસો રૂપિયા ખૂટે છે તો તારે લાંચના પાંચસો રૂપિયા લેવા. પછી કોઈક પાંચ હજાર રૂપિયા આપે તો પાંચસો ઉપરની રકમ તારે લેવી નહીં. આવું નિયમમાં જ રહે એને મુક્તિ થાય, એનો નિવેડો આવે. નિયમ જ મોક્ષે લઈ જાયપ્રશ્નકર્તા : કોઈ નિયમથી લાંચ લે એને લોભ જ ના થાય ને, પછી ? દાદાશ્રી : અરે ! આ નિયમ તો ઠેઠ મોક્ષે લઈ જાય, અને લોભ તો સડસડાટ ઊડી ગયો અને એ થઈ શકે એવી સ્થિતિ છે. એ કરી શકાય એવું છે. પ્રશ્નકર્તા : અને કોઈ લાંચ લેતો જ નથી એનું શું થાય ! દાદાશ્રી : એ રખડી મરે. લાંચ મળતી હોય ને ના લે એટલે એને અહંકાર વધતો જાય. અને પેલો લાંચ લે છે પણ નિયમથી એટલે કે ઘરખર્ચમાં ખૂટતા રૂપિયા પૂરતું જ પાંચસો રૂપિયા લે છે. હવે એને પછી કોઈ પાંચ હજાર રૂપિયા આપવા આવ્યો હોય તો પણ એ લે નહીં, પાંચસોથી વધારે એક પૈસો પણ નહીં, એટલે એવો નિયમ પાળે તો એ મોક્ષે જાય. કાળને અનુરૂપ વચગાળાનો માર્ગઅત્યારે માણસ શી રીતે આ બધી મુશ્કેલીઓથી દહાડા કાઢે ? અને પછી એને ખૂટતા રૂપિયા ના મળે તો શું થાય ? ગૂંચવાડો ઊભો થાય કે રૂપિયા ખૂટે છે, એ ક્યાંથી લાવવા ? આ તો એને ખૂટતા બધા આવી ગયા. એનેય પછી પઝલ સોલ્વ થઈ ગયું ને ? નહીં તો આમાંથી માણસ (પા.૨૧૨)ઊંધો રસ્તો લે ને પછી અવળે રસ્તે ચાલ્યો જાય, પછી એ આખી લાંચ લેતો થઈ જાય, એના કરતાં આ વચગાળાનો માર્ગ કાઢ્યો છે અને એ અનીતિ કરી છતાંય નીતિ કહેવાય, અને એનેય સરળતા થઈ ગઈ ને, નીતિ કહેવાય અને તેનું ઘર ચાલે. જૂઠું બોલ, પણ નિયમથીઅમે તો શું કહ્યું કે તું જૂઠું બોલીશ જ નહીં. અને તારે જૂઠું બોલવું જ હોય તો નિયમથી બોલ કે આજે મારે પાંચ જ જૂઠ બોલવાં છે. છઠ્ઠી વખત નહીં, તો મોક્ષે જઈશ. પછી એ પાંચ જૂઠ બોલીને વપરાઈ જાય ત્યાર પછી એની બહેને કંઈ ચારિત્ર સંબંધી દોષ કર્યો હોય, ત્યારે કોઈ પૂછે કે, ‘ભઈ આ તમારી બહેનની વાત સાચી છે ?’ પેલાને આ પાંચ જૂઠ તો થઈ ગયાં, હવે છઠ્ઠું જૂઠ તો બોલાય નહીં એટલે એને ‘સાચું છે’ એમ કહેવું પડે. પાંચ ના વપરાઈ ગયાં હોત તો પાંચમું આને વાપરત, પણ પાંચ જૂઠ વપરાઈ ગયાં ! આને નિયમથી અનીતિ કહ્યું. ચોરી કર, પણ નિયમથીકોઈ ચોર ચોરી કરતો હોય, પણ જો નિયમથી ચોરી કરે તો એ નિયમ એને મોક્ષે લઈ જાય. નિયમથી ચોરી કરે એટલે શું ? કે એને મહિનામાં બે ચોરીઓ કરવાની કહી હોય. હવે પહેલીવાર હાથ માર્યો તો દસ રૂપિયા હાથમાં આવ્યા. ફરી વાર હાથ માર્યો તો ચાળીસ રૂપિયા આવ્યા. એટલે ચાળીસ ને દસ, એમ મહિનામાં પચાસ રૂપિયા મળ્યા. હવે જો પહેલો હાથ ના માર્યો હોત તો એને બીજા ત્રણસો મળે એવું હતું. પણ બે વખત થઈ ગયું એટલે હવે લેવાય નહીં. એણે કોઈકના ગજવામાં હાથ ઘાલીને જોઈ લીધું કે આ ત્રણસો રૂપિયા છે, પણ તરત એને થયું કે આ તો ખોટું કર્યું, મારે બે ફેરા ચોરી તો થઈ ગઈ છે. એટલે એણે છોડી દીધું. આને નિયમથી અનીતિ કહેવાય. વાત સમજો, જ્ઞાનીની ભાષામાંમૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત (પા.૨૧૩)જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે ‘નિયમથી અનીતિ કર !’ પ્રશ્નકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે આ શું, દાદા શું કહેવા માગે છે ! પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે ! દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે ‘તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?’ એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં. અગ્નિમાંય ઘી ઘટ્ટપ્રશ્નકર્તા : આપ્તસૂત્રની અંદર જ્યારે આપનું આ સૂત્ર વાંચવામાં આવ્યું. એનાથી ઘણાને બહુ આશ્ચર્ય થયું અને પછી આપે એનું રહસ્ય સમજાવ્યું. દાદાશ્રી : જો અનીતિ કરવાનો હોય તો તું નિયમથી કરજે. એ આ દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ છે એટલે દુનિયાના સ્વભાવથી વિરુદ્ધ આ વાક્ય ઉપર લોકોને પ્રશ્નાર્થ થયા ! એટલે મેં ખુલાસો કર્યો. જરૂર હોય પાંચસો રૂપિયાની તો એટલા સુધીનો એક નિયમ પાળજો. અને બીજી જોખમદારી મારી. અને તું સંપૂર્ણ નીતિ પાળે છે એ ગ્રેડમાં તને સિફારસ કરીને લઈ જઈશ. પણ નિયમથી પાળજે. પછી વીસ હજાર રૂપિયા આવે તો પણ કહીએ, ‘ના, બા પાંચસોથી વધારે નહીં લઉં.’ પ્રશ્નકર્તા : દાદા, એવું બને ખરું ? માણસની પાસે તમે મૂકો આ ? દાદાશ્રી : બની શકે, જેને સમજવું છે તેને. પ્રશ્નકર્તા : પણ અગ્નિ પાસે ઘી મૂકીએને, ને ઓગળે નહીં એવું થયું આ. દાદાશ્રી : હા, ઓગળે નહીં. પણ આ તો આ કાળના જ લોકો (પા.૨૧૪)આ પ્રમાણે પાળે. આજથી સો વર્ષ પહેલાનાં લોકો ના કરી શકે. આ કાળના જીવો એ બધા કરે એવા છે. એ જાણે કે ‘ઓહોહો ! મારી ઉપર જોખમદારી કંઈ આવે નહીં, ને આવી રીતે થાય તે ?’ ત્યારે એ જ કહે કે ‘ના, એ પાળીશ.’ એ તો બહુ સહેલો રસ્તો છે, આ સરળ રસ્તો છે, અને પાંચસો રૂપિયાથી રહી શકે. પ્રશ્નકર્તા : તમે તો કહો છો કે તારે કંઈ કરવાનું નથી, મારી આજ્ઞા પાળ, પતી ગયું. દાદાશ્રી : હા, બસ, આજ્ઞા પાળ, પતી ગયું. પ્રશ્નકર્તા : એટલે પરિશ્રમ જ ગયો ને ! દાદાશ્રી : એટલે તું મારી આજ્ઞા પાળ. પછી તારે જોખમદારી નહીં એટલે એ જે એને ઉછીના લેવા પડતા હતા ને ઘરની મુશ્કેલી હતી, એ તૂટી ગઈ, પછી એ તો બહુ આનંદમાં રહે પાછો ! લાવોને હું જ એ વાક્ય બોલું. ‘વ્યવહારમાર્ગવાળાને અમે કહીએ છીએ.’ વ્યવહારમાર્ગ એટલે સંસાર એ વ્યવહારમાર્ગ કહેવાય. ‘કે સંપૂર્ણ નીતિ પાળ. તેમ ન થાય તો નીતિ નિયમસર પાળ.’ કે ભઈ મારે આટલી નીતિ પાળવી છે. ‘તેમ ન થાય તો, અનીતિ કરું તોય નિયમમાં રહીને કર ! નિયમ જ તને આગળ લઈ જશે !!!’ એ અમારી ગેરન્ટી છે ! કારણ કે કળિયુગમાં છોડાવનાર જોઈએ. નિયમ તોડે, તેની ગેરન્ટી નહીંપ્રશ્નકર્તા : એના અનુસંધાનમાં પૂછું છું કે અનીતિ પણ નિયમથી (પા.૨૧૫)કરજે. પાંચસો રૂપિયા ખર્ચાના ખૂટ્યા, તો એને તમે મંજૂરી આપી કે પાંચસો રૂપિયા સુધી તું લાંચ લેજે. હવે મારો સવાલ એ છે કે ઘરનો ખર્ચો પાંચસો ખૂટવાને બદલે બીજા બસ્સો વધારાના ખૂટ્યા, તો હવે એ સાતસો રૂપિયા લે તો એની તમે સિફારસ કરો કે નહીં ? દાદાશ્રી : ના, એક વખત સેંકશન (મંજૂર) થયા પછી તારે બદલાય નહીં. તું પહેલેથી પાંચસોને બદલે સાતસો નક્કી કર. હું સેંકશન કરું. પણ તું પાછળથી આમાં સેંકશન થયેલા પ્લાનમાં ફેરફાર ના કરીશ. એ પછી અમારી જવાબદારીનો ત્યાં એન્ડ (અંત) થાય છે, કારણ કે અમે સમજી જઈએ કે આ નોર્માલિટી ખસી ગઈ. પછી એબનોર્મલ થવા માંડે. બીલો નોર્મલથી નોર્મલ પર લાવ્યા. તે હવે એબનોર્મલ થવા માંડ્યું. એટલે અમારી જવાબદારીનો એન્ડ થાય છે. અમે પહેલેથી કહીએ છીએ કે તારી રક્ષા માટે તારે જેટલાં બારણાં રાખવા હોય એટલાં બારણા રાખ. મને વાંધો નથી, અને પછી મારી પાસે સેંકશન કર્યા પછી, બારણું નહીં મુકાય, એક આવડી જાળી સરખીયે નહીં મુકાય, ને પાણી જાય એવો હોલેય (કાણું) નહીં પડાય, કારણ એનો નિયમ, નિયમ એટલે શું કે નિયમથી રહે એની જોખમદારી હું લઉં છું. હું જ્ઞાની પુરુષ છું. સર્વ પાપો ભસ્મીભૂત કરવાનો મારી પાસે પાવર ઑફ એટર્ની (Power of attorny) છે ! તો પછી તું મારા કહ્યા પ્રમાણે ચાલ ને ! અને હું તને ગેરન્ટી આપું છું. આવું કોઈએ કહ્યું નથી કે ભઈ, તું અનીતિ પાળ. કારણ કે આમને છોડાવવા માટે આવું ના કહીએ તો આ લોકો છૂટે કેવી રીતે ? આવું ના કહીએ તો છૂટે નહીં, અને દહાડો વળે નહીં ! અક્રમ વિજ્ઞાનમાં નિકાલી બન્નેઅક્રમ વિજ્ઞાન તો નીતિ-અનીતિ બન્ને બાજુએ મૂકી દે છે. તું એમને નિકાલી બાબત ગણું છું ને ? કઈ બાબત ગણું છું ? પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ. દાદાશ્રી : નીતિને કોઈ ઈનામ નથી ચાલતું અને અનીતિને કોઈ (પા.૨૧૬)માર નથી ચાલતું. એવું આપણું વિજ્ઞાન છે. અનીતિ એને માર આપીને જ જાય. નીતિ એને સુખ આપીને જાય. પણ તે એ સુખ ને મારગે છે. તે ખરેખર પદ્ધતિસરનું નથી એ. એ તો કલ્પિત છે, સમજ પડીને ? અનીતિવાળાને ટાઢું પાણી મળે શિયાળાને દહાડે અને નીતિવાળાને ગરમ પાણી મળે. પણ એનો નિકાલ થઈ જાય, આ જિંદગીમાં. પોતે શુદ્ધાત્મા થયો હોય તો, અમારી આજ્ઞામાં રહે તો બધું ઊડી જાય. હડહડાટ ! જેટલું દેવું હોય એટલું બધું સાફ. એક અવતાર પૂરતું બાકી રહે, આજ્ઞા પાળી તે બદલ. આ કંઈ બધા નીતિવાળા હશે ? આ કળિયુગ છે ને ? પ્રશ્નકર્તા : તમે એટલે જ કહેતા હતા કે લાવો, એકુંય નીતિવાળા બતાવો મને. દાદાશ્રી : ના, પણ કળિયુગમાં શી રીતે રહે બિચારો ? નીતિવાળો રહે શી રીતે ? લપસી પડ્યા વગર રહે જ નહીં. આટલી ચીકણી માટી અને પોતાની શક્તિ નહીં. શક્તિ હોય તો તો અંગૂઠો દાબીનેય મૂઓ ચોંટે પણ આ તો અંગૂઠો દાબે છે તો અંગૂઠો હઉ દુઃખી જાય છે. લપસી પડે છે. હાડકાં હઉં ખોખરાં થઈ ગયેલાં છે, લપસી લપસીને. ત્યારે તો અક્રમ વિજ્ઞાન લેવા આવે, નહીં તો અક્રમ વિજ્ઞાન લેવા કોઈ આવતું હશે ? ઝટપટ નિકાલ કરી નાખીએ. કહેશે, અક્રમ વિજ્ઞાન એટલે નીતિ, અનીતિને બાજુએ મૂકી દે છે, એ બન્ને બીજ શેકી નાખે છે. એટલે ઊગવા લાયક ના રહે. ભાવાભાવથી પરપ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને એવા ભાવ રહેવા જોઈએ ને કે આ ધંધામાંથી છુટાય ? દાદાશ્રી : એ એવા ભાવ નહીં રહેતા હોય તોય છે તે આ અક્રમ વિજ્ઞાન જ એના ભાવ છોડાવશે. જો એવા ભાવ રહેતા હોય તો ઉત્તમ જ છે. એવા ભાવ રહેતા હોય તો આપણે અક્રમની રાહ નહીં જોવી જોઈએ. અને ના રહેતા હોય તો આપણે એની ચિંતા કરવા જેવી નહીં. અક્રમ એને ધક્કો મારીને છોડાવી દે. એ તાવ ચઢ્યો કે પેલાને છોડવાની તૈયારી ચોતરફથી કરાવે. (પા.૨૧૭)જાતને જોયા કરોપ્રશ્નકર્તા : ધંધામાં કંઈ ગરબડ હોય અને ચંદુભાઈ અકળાય એ આપણને દેખાય ? દાદાશ્રી : હા, ચંદુભાઈ અકળાય એ બધું ખબર પડે. ને પછી જોખમદારી નહીં. ચંદુભાઈ અકળાય તો આપણને જોખમદારી નહીં. એ અકળાય ને પછી શાંત થઈ જાય. ફરી બીજ પડે નહીં ને ! આ શેકાઈ ગયેલું બીજ છે. એટલે ઊગે નહીં. ધંધામાંય પૂર્ણ વીતરાગઅમેય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધો-રોજગાર ઈન્કમટેક્સ વગેરે બધું ય અમારે પણ છે. અમે કંટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ. છતાં એમાં અમે સંપૂર્ણ ‘વીતરાગ’ રહીએ છીએ એવા ‘વીતરાગ’ શાથી કહેવાય છે ? ‘જ્ઞાન’થી. અજ્ઞાનથી લોક દુઃખી થઈ રહ્યા છે. તે પ્રતિક્રમણથી ભૂંસાયપ્રશ્નકર્તા : આ ધંધો કરીએ છીએ, તેમાં કોઈકને કહીએ કે ‘તું મારો માલ વાપર, તને એમાંથી ટકા-બે ટકા આપીશું’ એ ખોટું કામ તો છે જ ને ? દાદાશ્રી : ખોટું કામ થઈ રહ્યું છે એ તમને ગમે છે કે નથી ગમતું ? પ્રશ્નકર્તા : ગમતું એ બીજો પ્રશ્ન છે. પણ ન ગમતું હોય તોય કરવું પડે છે, વ્યવહારને માટે. દાદાશ્રી : હા, માટે જ કરવું પડે છે. એટલે ફરજ્યિાત છે. તો આમાં તમારી ઇચ્છા શું છે ? આવું કરવું કે નથી કરવું ? પ્રશ્નકર્તા : આ કરવાની ઇચ્છા નથી પણ કરવું પડે છે. દાદાશ્રી : એ ફરજ્યિાત કરવું પડે તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ; ‘આ નથી કરવું છતાં ય કરવું પડે છે.’ આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી (પા.૨૧૮)છૂટ્યા. આ તો આપણી ઇચ્છા નહીં હોવા છતાંય ફરજ્યિાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આવું જ કરવું જોઈએ તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાય માણસો ખરા ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવોય ના થાય. એવું છે ને દ્રવ્ય કોઈના તાબામાં નથી. આ ફક્ત ભાવ એકલો જ તાબામાં છે. દ્રવ્ય ફરજ્યિાત છે બધું અને ભાવ જે છે એટલું જ તમારા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો ! અમારું દ્રવ્ય સારું હોય અને ભાવેય સારો હોય, બેઉ સારા હોય. તમારા બધાનું સ્વચ્છંદપૂર્વકનું નીકળે એટલે તમારે પસ્તાવો થાય કે આવું કેમ થાય છે. આજનાં જ્ઞાન જોડે એડજસ્ટ ના થાય એટલે એમ જ લાગે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. એટલે આ જે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણામ છે, જે ફરજ્યિાત લાગે છે. આપણને ન કરવું હોય છતાંય કરવું જ પડે, એ બધું ‘ડિસ્ચાર્જ’ છે અને ભાવ જે અંદર છે તે ‘ચાર્જ’ છે. તો આપણે સાંજે અડધો કલાક બેસીને પસ્તાવો-પ્રતિક્રમણ કરવું કે આમ નથી કરવું છતાંય આ થાય છે. એ મારું કામ નહીં. આ જવાબદારી મારી નથી એમાં, હવે ભવિષ્યમાં નહીં કરું, હવે આવી જાતના ભાવ ભવિષ્યમાં નહીં કરું. બસ એવો પસ્તાવો કરવાનો. પ્રશ્નકર્તા : પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાના જ છીએ. દાદાશ્રી : નહીં, ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું એ તો આજે ‘ડિસ્ચાર્જ’ (નિકાલી) છે અને ‘ડિસ્ચાર્જ’માં કોઈનું ચાલે જ નહીં. ‘ડિસ્ચાર્જ’ એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને ‘ચાર્જ’ એટલે શું ? કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ કહે કે ‘આ બરાબર જ થઈ રહ્યું છે.’ તો એ માર્યો ગયો જાણો. પણ જેને પસ્તાવો થાય છે એનું આ ખોટું ભૂંસાઈ જશે. ભગવાનની દ્રષ્ટિએબાકી આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, (પા.૨૧૯)એનું અસ્તિત્વ જ નથી. ખોટી વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ ખોટી વસ્તુનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું થયેલું છે. ભગવાનને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી. સહુ કોઈ જે કરી રહ્યા છે, એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે. એમાં ખોટી વસ્તુ છે નહીં. ચોરી કરી લાવ્યો. એ આગળ લોન લઈને પછી પાછી વાળશે. દાન આપે છે એ લોન આપીને પાછી લેશે. આમાં ખોટું શું છે ? ભગવાનને કોઈ દહાડો ખોટું લાગ્યું નથી. ખોટી વસ્તુ જ નથી ને ! એટલે ખોટી જે આપણને લાગે છે એ હજુ આપણી ભૂલ છે. જે બને છે, જે બની રહ્યું છે એને જ ‘કરેક્ટ’ (બરાબર) કહેવામાં આવે તો નિર્વિકલ્પ થાય. નહીં તો બને છે એને કરેક્ટ ના કહે તો વિકલ્પી થયા કરશે. આ ઉપાય સાથે બધી વાત કહી દીધી. કશું ‘ખરું-ખોટું’ હોતું જ નથી. બીજું બધું ‘કરેક્ટ’ જ છે. પછી સહુ સહુનું ડ્રોઇંગ જુદું જ હોય. એ બધું ડ્રોઇંગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા, એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઇંગ કેવું છે ! એ બધું ડ્રોઇંગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય. પરિગ્રહની પરિસીમાધંધો હોય તો વાંધો નહીં. મને એમાં વાંધો નથી. આ તો એક સાધારણ વાત કરું છું. તમે કરો કે ના કરો, શાથી કરો છો તેય હું જાણું છું. શાથી નથી કરતા તેય હું જાણું છું. એટલે તમને ગુનેગાર ગણતો જ નથી. તમે વેપારમાં પડ્યા છો તેથી વધ્યા છે આ. વેપાર તો કશો કરવાનો જ જે આપણો ઉદય હોય, પણ ઉદયપૂર્વકનો વેપાર વધે-ઘટે, (પા.૨૨૦)જેવો હોય એવો આપણે કરી લેવાનો અને તમે તો વધારવા હારુ, ઊલટું કેટલુંય બધું આમ કરો છો. નક્કી નહીં કે ભઈ, મારે પાંચ લાખ જ કમાવા છે. એવું કંઈ નક્કી કરતો હોય તો ભગવાન જવા દે. પણ બાઉન્ડ્રી નહીં કરેલી. પ્રશ્નકર્તા : એટલે પરિગ્રહનું બંધન કરવું ? દાદાશ્રી : આપણું પ્રારબ્ધ છે ને, એ બધો હિસાબ લઈને આવેલું હોય તે આપણે સાચા દિલથી તપાસ કરીએ ને તો આપણને ખબર પડે કે બે લાખ તો આપણને બહુ થઈ ગયા. તે આપણે બે લાખની ભાવના રાખીએ. એ જ્યારે લાખ થઈ જાય ત્યારે બંધ કરવું. બાકી આમ લોભનો તો પાર આવે એવો નથી. જોવાનું, બરકત વધે તેનાણું કમાવાનું જોર કરવા જેવું નથી. નાણાંમાં બરકત શી રીતે આવે છે તે વિચારવા જેવું છે. તે જ્ઞાની પુરુષ દેખાડે કે આ રીતે બરકત આવશે. નહીં તો બરકત નહીં આવે. એક મુસલમાન શેઠ હતા. તે કહે છે કે પંચોતેર લાખ રૂપિયા મારી પાસે આજે બેન્કમાં તૈયાર છે, અને આવક જબરજસ્ત છે. પણ સાહેબ બરકત નથી આવતી. તે શી રીતે આવે ? બરકત નહીં એટલે શું ? નરી ઉપાધિ, ધંધામાં ઉપાધિ, હાયવોય, હાયવોય, બળતરા, ચિંતા ! અલ્યા આટલા લાખ રૂપિયામાંય ચિંતા ! બરકત નથી આવતી ! એટલે જ્ઞાની પુરુષને પૂછે કે સાહેબ બરકત શી રીતે આવે ? બરકત ના જોઈએ ? પ્રશ્નકર્તા : એકદમ જોઈએ, એ થોડું હશે તો ચાલશે, પણ શાંતિ જોઈએ. દાદાશ્રી : હા, બરકત ! નાણું ટકે. બરકત હોય ને તો નાણું ટકે ! ને આપણને શાંતિ આપે, ને બરકત ના હોય ને તે તો ઊલટી ઉપાધિ કરે ! આવેલું નાણું દુઃખ આપીને જાય. અને પાછું જતું રહે પાછું ! તમે બે-ત્રણ વર્ષ પછી જો જો ને, મોટી મોટી પાર્ટીઓ આમ પડું પડું થઈ રહી (પા.૨૨૧)છે. હવે આમાં શું થાય ? કે નાની પાર્ટીઓવાળા માર્યા જાય. એને ત્યાં મૂકી આવ્યો હોય, વ્યાજ ખાવા હારુ ! બે ટકા અને અઢી ટકા, એ પાર્ટીઓ ઊડી જાય. પેલાનું તો શું ગયું ? એણે ચાલીસ લાખ રૂપિયાનું હીરાનું કાઢી નાખ્યું ! એ નાદારી-બાદારી કાઢતો નથી, અત્યારે તો લોકોને એ કહી દે છે કે અત્યારે જે હોય તે લઈ લો બા ! આ કંઈ એવો નાદારીનો રિવાજેય નથી. ને ભાંજગડેય નથી. પહેલાં તો નાદારીમાં ખેંચી જતા હતા. અત્યારે પણ કો’ક માણસ ખેંચી જાય છે. બાકી ખાસ કરીને માંહ્યોમાંહ્ય પતાવી દે છે ! શું મજા કાઢવાની ? શું લેવાનું એમાં ? છે જ નહીં પછી શું લેવાનું તે ? અને એ કકળાટ કરવામાં શું સ્વાદ ? આવા ખોટા પૈસા તે ગયા ! બરકત વગરનું નાણુંઅને આ કાળમાં કોઈ માણસ એવો દાવો ના કરી શકે. અરે, હું પણ એવો દાવો ના કરી શકું કે મારા પૈસા સાચા છે. પૈસા સ્વભાવથી જ ખોટા છે. હા, નહીં તો પહેલાં પાંચ રૂપિયા લઈને નીકળતાં તે બાર ભાઈબંધ પાછળ ફર્યા કરે! અત્યારે તો એક હજાર લઈને ફરો તો ભાઈબંધ કોઈ... પ્રશ્નકર્તા : આવતું નથી. દાદાશ્રી : એટલે આ બરકત નથી. માટે આમાં ખુશ રહેવા જેવું નથી આ રૂપિયાથી. અને હોય તો લોકોને જમાડી-કરીને કેસ ઊંચો મૂકી દેવો. બ્રાહ્મણો જમાડવા, તેના કરતાં આ દાદાના મહાત્માઓને જમાડવા બહુ ઉત્તમ ! આવા બ્રાહ્મણો નહીં મળે. જેને જમવાની ઇચ્છા નથી, જેને કોઈ જાતની તમારી પાસે ઇચ્છા નથી, ભાવના નથી. નાણું નાખો સીમંધર સ્વામીના દેરામાંવધારે નાણું હોય તો ભગવાનના કે સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકેય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકુંય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુઃખિયાને ત્યાં આગળ આપજો. અને તેય રોકડાથી નહીં, (પા.૨૨૨)ખાવાનું , પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાંય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ? કૃપાથી ખુદાઈ બરકતબરકત આવવી જોઈએ, ખુદાઈ બરકત ! હવે નાણું ખૂટશે નહીં. તમે જો ખુદાઈ બરકતમાં આવી ગયા ! કારણ કે જ્ઞાન મળ્યું ત્યારથી જ ખુદાઈ બરકત આવવા માંડી ! અને પછી જો વ્યવહાર ધીરે ધીરે ચોખ્ખો થવા માંડ્યો પછી નાણું ખૂટે નહીં. તમે પાવડેથી ખૂંપીને આપો તોય ખૂટે નહીં. આ ‘દાદા ભગવાન’ પ્રગટ થયા છે ને, એમની જો કૃપા ઊતરે તો શું ના આવે ?! એમની કૃપા ઊતરે તો બરકત રહે ! એ ખુદાઈ બરકત છે ! સંસારનું સરવૈયું સાંપડ્યું ?આ સંસારનાં સરવૈયાંની સમજણ પડે નહીંને ? વેપારમાં તો સમજણ પડે કે આ ખાતું ખોટવાળું છે ને આ ખાતું નફાવાળું છે ! એટલે આ ચોપડાનાં સરવૈયાં જોતાં આવડે છે, પણ બધાને ના આવડે ને ? સી.એ. એવું તેવું બધું ભણેલા હોય એ બધા કાઢી આપે. પણ આનું સરવૈયુ કોણ કાઢી આપે ?! પ્રશ્નકર્તા : આમાં તો આપ છો ને, સી.એ., આમાં સરવૈયું કાઢવાવાળા. દાદાશ્રી : હા, એટલે કોઈક ફેરો જ્ઞાની પુરુષ ભેગા થાય તો આપણું સરવૈયું કાઢી આપે. બાકી કોણ કાઢી આપે ? ઘરના માણસો તો ઊલટા ગૂંચવે વધારે. એય અમારાં ખાતાં જોઈ આપો. અલ્યા, મેલને, મારે તો આ સરવૈયું જોવું છે, બધું. તેમાં શું કરવા માથાકૂટ કરે છે ? મારે ખાતે કેટલા જમે છે એ કાઢો, કહેશે. પ્રશ્નકર્તા : ઉધારની વાત કોઈ ના કરે. જમેની વાત કરે. દાદાશ્રી : હા, એટલે ઉધારની વાત કોઈ કરે નહીં. આ વાત કરે (પા.૨૨૩)નહીં. આ વાત કંઈ ગમે છે બધી. મેં કહી તે વાત ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : છેવટે તો જાણવું પડશે ને ? સરવૈયું જાણ્યા વગર ચાલશે ? આ બધા મહાત્માઓ સરવૈયું જાણીને બેઠા છે. એટલે નિરાંતે બેઠા છે ને ? હવે છે કશી ભાંજગડ ? સરવૈયું જાણે એટલે પછી નિરાંત થઈ ગઈ ! (પા.૨૨૪)(૪) મમતા રહિતતામૂઆ, પીછેય ચાલશે...ઘરમાં સુખ હોત તો કોઈ માણસ મોક્ષ ખોળત નહીં ને ! આ તો સંસાર છે એટલે એવું જ હોય, પણ બે ટાઈમ ખાવા મળે છે ને ! ખમીસ પહેરવા મળે છે ને ! પ્રશ્નકર્તા : પણ પૈસાનું સુખ નથી. દાદાશ્રી : આપણને ખાવા તો મળે છે ને. આ મુંબઈમાં તો બધા પૈસા સારુ દોડે છે. ધનની ઇચ્છા છે ને બધાને ! આપણે સંતોષ રાખીએ. આપણો હિસાબ હશે તો મળશે. હિસાબ લાવ્યો હોય તો હિસાબની બહાર તો એકદમ મળી ન જાય ને ? કેટલું ધન ભેગું કરવું છે ? પ્રશ્નકર્તા : જિંદગી સુધી ભેગું કરવું છે. દાદાશ્રી : પણ પછી સાથે કશું લઈ જવાનું નહીં, તોય આવી દોડધામ કોણ કરે ? પ્રશ્નકર્તા : આવ્યા’તા, તે કંઈ સાથે લઈને આવ્યા’તા ? દાદાશ્રી : બસ, સાથે લઈને આવવાનું નહીં, ને સાથે લઈ જવાનું નહીં, કાયદો સારો છે, નહીં તો આ રાતેય ના ઊંઘે, રાતેય દુકાનો ચાલુ હોત અને ઇલેક્ટ્રિસિટી વાપરત, આખી રાત. આ બે વાત જો સમજે ને, તો કશી ઉપાધિ ના રહે ! ‘જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પીછે ચાલશે; અટકે ના કોઈ દી વહેવાર રે,....સાપેક્ષ સંસાર રે...’ (પા.૨૨૫)‘જન્મ પહેલાં પારણું ને મૂઆ પીછે લાકડાં; સગાંવહાલાં રાખશે તૈયાર રે,....વચ્ચે ગાઢ જંજાળ રે...’ બધા બુદ્ધિજીવીઓને આ એકસેપ્ટ કરવું પડે, એવી વાત છે ને ! ઘાણીનો બળદિયોપોતાનામાં કોઈ ભાગીદારી કરે નહીં, મહીં આમ હાથેય ઘાલે નહીં, આ તો અક્કલનો ઇસ્કોતરો હોય તે કર્યા જ કરે. આપણે છોકરાને પૂછીએ કે અલ્યા ભઈ આ ચોરીઓ કરી કરીને ધન કમાઈએ છીએ. ત્યારે એ કહે, ‘તમારે કમાવવું હોય તો કમાવ, અમારે એવું નથી જોઈતું, ઉપરથી પાછી બૈરી કહે, આખી જિંદગી ખોટાં કર્યાં છે. હવે છોડી દોને બળ્યાં ? તોયે ના છોડે મૂઓ. પ્રશ્નકર્તા : કળિયુગમાં હજુ કોઈ બૈરી એવી મળી નથી. એ તો (બીજીનું) પેલીનું દેખે સારું, તો મને કેમ ના લાવી આપ્યું ? પોતે કહે જ કે આવું અમને કરી આપો. ધણીની ઇચ્છા હોય કે ના હોય તોયે કરવું પડે. દાદાશ્રી : ના, એવું કશું નથી. એ તો બધો પ્રકૃતિ સ્વભાવ હોય છે. આ મનુષ્ય એકલાને ઠેઠ સુધી ઢસરડા કરવા પડે છે. બાકી આ બળદને તો પાંજરાપોળમાં મૂકી આવે. કારણ કે હવે કશા કામમાં નહીં આવે બિચારો, માટે એને પાંજરાપોળમાં મૂકો ! સહજ મિલા.... ત્યાં સિદ્ધિઓઅનંતી, પાર વગરની શક્તિઓ છે. જ્ઞાન ના હોય તોયે પાર વગરની શક્તિ છે. અજ્ઞાનદશામાંય અહંકાર તો છે જ ને ? પણ અહંકાર ચોખ્ખો કરે, પોતે કંઈ પણ ન વાપરે, પોતાને ભાગે આવ્યું હોય તેય બીજાને આપી દે, પોતે સંકોચાઈ સંકોચાઈને રહે, તો ઘણી સિદ્ધિઓ ઉત્પન્ન થાય. (પા.૨૨૬)પ્રશ્નકર્તા : અત્યારે તો એવું છે કે જો પોતાનો રોટલો હોય, મહેનત કરીને ખાય છે ત્યારે બીજો આવીને ખેંચી જાય છે. હવે પોતે જો સામો બચાવ ના કરે તો ભૂખે મરે એવો ટાઈમ છે, એમાં તમે આવું કહો છો. દાદાશ્રી : હા, અત્યારે તો ખેંચી લે છે ઊલટું કે એય લાવ ઈધર ! અને આગળ શું કહેતા હતા કે... ‘સહજ મિલા સો દૂધ બરાબર.’ જે કંઈ પણ મળ્યું, સહજ પાણી મળ્યું હોય તોયે દૂધ બરાબર. પછી ‘માંગ લિયા સો પાની’ દૂધેય માંગી લીધું તો પાણી, અને ‘ખિંચ લિયો સો રક્ત બરાબર’ આ કાયદો કોણ પાળે છે ? પ્રશ્નકર્તા : આ કાયદો પાળે તો બૈરી-છોકરાં ભૂખે મરે ! દાદાશ્રી : પણ ત્યારે એને બીજી સિદ્ધિઓ ઉત્પન્ન થાય ને ! પ્રશ્નકર્તા : પણ તે સિદ્ધિ ઉત્પન્ન થતાં સુધીમાં વચલા ગાળામાં શું કરવું ? અહીં તો તમારી મહેનત, તમારા હક્કનું લોકો પડાવીને બેઠા છે ! આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણું જ ખેંચી જાય. દાદાશ્રી : ના, ના. કોઈ ખેંચી ના જાય. એવું છે ને આ જ્ઞાન આપણું જે છે ને, જ્ઞાન એટલું બધું સૈદ્ધાંતિક છે કે રાતે સોનું બહાર મૂકીને સૂઈ ગયા હોય તો સવારમાં જુઓ તો એટલું ને એટલું જ હોય અને એવું તેવું કશું થાય જ નહીં. ન શીખ્યો આપવાનુંઆપવાનું શીખ્યો ત્યારથી સદબુદ્ધિ ઉત્પન્ન થઈ. અનંત અવતારથી આપવાનું શીખ્યો જ નથી. એંઠવાડોય આપવાનો એને પસંદ નથી, એવો મનુષ્યનો સ્વભાવ ! ગ્રહણ કરવાની જ ટેવ છે એને ! તેમાં જાનવરમાં હતો તોય ગ્રહણ કરવાની જ ટેવ, આપવાનું નહીં ! એ જ્યારે આપવાનું શીખે ત્યારથી મોક્ષ ભણી વળે છે. કોઈને આપવાનું તને ગમે છે કશું ? પ્રશ્નકર્તા : હું તો બહુ આપી દઉં ! દાદાશ્રી : ત્યારે સારું ! બાકી અનાદિ અવતાર ગ્રહણ કરવાનું (પા.૨૨૭)શીખેલો ! આ કીડીઓ હઉ બધી સ્વાર્થમાં ચોક્કસ ! એમાં કશુંક મંકોડો લઈ જતો હોય ને તો કીડીને ગમે નહીં ! હા એમની ક્વૉલિટીની બધી કીડીઓ હોય તો એ જાણે કે આપણા સ્ટોરમાં જ લઈ જાય છે એટલે એ વઢે નહીં, અને મંકોડા લઈ જાય ત્યાં લઢવા જ માંડે ! સંયોગ, પાપ-પુણ્યના આધારેકોઈ ફેરા સંજોગો આવે છે ખરા કે ? પ્રશ્નકર્તા : સારાયે આવે છે. દાદાશ્રી : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણા જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે. લક્ષ્મી, શેના આધીન ?મેં લોકોને કહ્યું કે, શું કરવા હારુ પૈસા પાછળ પડ્યા છો તે ? પૈસા હારુ ધ્યેય શાનો રાખો છો ? પૈસા તો પુણ્યને આધીન છે. ત્યારે કહે કે, ‘અક્કલને આધીન નહીં ?’ મેં કહ્યું કે, ‘અક્કલવાળો તો તું ભૂલેશ્વરમાં જા, અરધાં ચપ્પલવાળા બધાં બહુ ફરતા હોય. તને બધી જાતની સલાહ હઉ આપે, અક્કલવાળા તે સલાહ હઉ બધી આપે ! અક્કલ તો વટાવી ખાય બધી’ બેઅક્કલના જ પૈસા હોય, પુણ્યના જ પૈસા હોય. પ્રશ્નકર્તા : રૂપિયાથી પથારી ને જલેબી બન્ને મળે છે. દાદાશ્રી : હા, એ બધું ભગવાનથી નથી મળતું એટલે પછી આ લોકોને ભગવાન પર પ્રીતિ ઊઠી ગઈ છે. એને ખાતરી પણ નથી ભગવાન પર ! એટલે એ ભગવાનને ઓળખતોય નથી ! અને જે દેખાય છે, એના પર પ્રીતિ થઈ જાય છે. આ રૂપિયા પર આખા જગતનેય પ્રીતિ ખરી ને ? લક્ષ્મી માટે ચાર્જિંગપ્રશ્નકર્તા : બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું ‘ચાર્જ’ વધારે થાય ને, તો એને આવતા ભવે લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ? (પા.૨૨૮)દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી હોય એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે. પ્રશ્નકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં આ ભાવ કર્યા, એ ‘ચાર્જ’ કર્યું તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ? દાદાશ્રી : ના, ના એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તોયે ના મળે. ઊલટો અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે. ‘ચાર્જ’ એટલે પુણ્યનું ચાર્જ કરે, તો લક્ષ્મી મળે. એય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઇચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, તો એને લક્ષ્મી મળે, કોઈ કહેશે, મારે તો ફક્ત ધર્મ જ જોઈએ, તો ધર્મ એકલો મળી જાય. અને પૈસા નાય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય. કોઈ કહેશે, ‘મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ’ તો પુણ્ય એમાં વપરાઈ જાય. તો ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે મારે ધર્મ જ જોઈએ, મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તોય ચાલશે, પણ ધર્મ જ વધારે જોઈએ તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે. વીતરાગોની આજ્ઞાનું પાલનલક્ષ્મી તો મળ્યા કરશે, કારણ કે વીતરાગના કાયદામાં કંઈકેય છો ને, એટલે લક્ષ્મી મળ્યા કરશે, પણ લક્ષ્મી તેય પાછી આવન-જાવન છે. પૂરણ ગલન છે. ઘડીમાં બેન્કમાં દસ લાખ ભેગાયે થઈ જશે ને ઘડીમાં તળિયુંયે ખલાસ થઈ જાય એવી વસ્તુ છે. બહુ વિશ્વાસ રાખવા જેવું નથી. પૂરણ ગલન સ્વભાવનું છે, પણ આ વીતરાગના મતને લઈને લક્ષ્મી તો આવ્યા કરે છે. વીતરાગ ધર્મ પાળે છે, કંઈક, કંઈક અહિંસાધર્મ, એવા (પા.૨૨૯)તેવા અમુક વીતરાગોએ સેવન કર્યું એવું કંઈક ક્રિયાઓ કરે છે. તેથી લક્ષ્મી તો આવ્યા કરે છે. કારણ કે વીતરાગોના મોઢામાંથી વાણી નીકળેલી અને એમની આજ્ઞા પળાય છે. તેને લીધે આટલું ચાલે છે. બાકી વીતરાગોનો મત તો સંસારમાં રહેતાં કંઈ પણ દુઃખ ન પડે એવો વીતરાગોનો મત છે. એમાં કઈ મહેનત ?ચેક આવ્યો ત્યાંથી જ સમજોને કે આને વટાવીશ એટલે પૈસા આવશે ! તે આ તો ચેક લઈને આવ્યા હતા. અને તે આજ વટાવ્યો તમે ! વટાવ્યામાં શું મહેનત તમે કરી ? ત્યારે લોક કહેશે, હું આટલું કમાયો, મેં મહેનત કરી ! અલ્યા, એક ચેક વટાવી લાવ્યો એમાં મહેનત કરી કહેવાય ? તે પાછો જેટલાનો ચેક હોય એટલો જ વટાવાય. વધારે ના મળે ને ? એ તમને સમજાયું ? તેમ ઉપાધિયે વધેપ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓ ઉપર એક વખત કૃપા વરસાવોને તો લક્ષ્મી આમ રેલમછેલ થઈ જાય. દાદાશ્રી : એવું છે લક્ષ્મી વધારે માંગોને તો મૂકવાની પાછી ઉપાધિ. વપરાઈ જાય તોયે ઉપાધિ કે વધારે વપરાઈ ગયું, એમ થયા કરે. લક્ષ્મીનો સ્વભાવ એવો છે કે મહાદુઃખે કરીને એ આવે - મહામહેનતે, મહાકપટે કરીને જંજાળ કરીએ ત્યારે એ ભેગી થાય પછી એને ક્યાં મૂકવી એનો ભય રહ્યા કરે. લાખેક રૂપિયા બેન્કમાં હોય તો પાછો સાળો લેવા આવે કે મને દસેક હજાર આપજોને. સાળાને તો આપ્યા, પછી બીજો મામાનો દીકરો આવે. એય ઉપાધિ. એના કરતાં સરખું બેલેન્સ હોયને તો કોઈ લેવા-કરવા આવે નહીં. કુદરતનું ગણિતમારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો. કારણ કે જે પૂરણ-ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે અને ગુણાકાર-ભાગાકાર કરી રહ્યા છે, એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર (પા.૨૩૦)થાય એવો નથી, એ નેચરલ છે. નેચરલમાં શું કરી નાખવાનાં છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે ‘જેમ છે તેમ’ ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એય નેચરના હાથમાં છે. નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં. પણ એ જાણે છે કે, ડેબિટ થયા વગર રહેવાનું નથી. કેટલાક માણસ નક્કી કરે છે કે, ‘હવે, આ ફેરો મારે બેન્કમાં લાખ રૂપિયા રાખી મૂક્યા છે, ફરી ઉઠાવવા જ નથી. ઉઠાવીએ તો મહીં ભાંજગડ થાય ને.’ પણ અલ્યા, ડેબિટનું ખાતું શું કરવા રાખ્યું છે લોકોએ ? બેન્કવાળા જાણે છે કે આ લોકો જ્યારે-ત્યારે રૂપિયા ઉઠાવ્યા વગર રહેવાના નથી. છેવટેય મરવાનો તો છે જ. એટલે આ બધું નેચરલ થયા કરે છે, શું કામ આમાં ચિંતા કરો છો ! ‘ડોન્ટ વરી !!’ અને ગુણાકાર-ભાગાકાર બંધ કરી દો ને ! તોય આપણા લોક છાનામાનાં ઓઢીને ગુણાકાર-ભાગાકાર કરે છે ને, કે હવે આ મિલ તો બંધાવાની પૂરી થવા આવી છે. હવે બીજું કારખાનું રચીએ. અલ્યા મેલને, આ છોકરાઓ કહે છે કે, બાપુજી સૂઈ જાવ. બધાય કહે છે, અગિયાર વાગી ગયા છે. તમારી તબિયત સારી નથી. પ્રેશર વધી ગયું છે, તે હવે નિરાંતે ઊંઘી જાવને, પણ મહીં ઓઢીને પાછો યોજના ઘડે. ઓઢીને શાથી કે પોતાની ચંચળતા કોઈ જોઈ ના જાય. એટલે સરવાળા ને બાદબાકી તો નેચરલ થઈ રહ્યું છે પણ ગુણાકાર-ભાગાકાર આ ઓઢીને કર્યા કરે છે ! આટલું વાક્ય સમજે તો પછી બેન્કવાળા જોડે કંઈ ભાંજગડ રહી બહુ ? એમને પૂછીએ કે લાખ રૂપિયા તમે મૂકી જાવ છો તે ક્યારે ઉપાડશો ? એ ખબર નથી. પણ તું ઉપાડશે એ નક્કી છે ! ત્યારે કહેશે કે મારી ઇચ્છા નથી. હવે રૂપિયા ઉપાડવાની ઇચ્છા ના હોયને તોય ક્યારે ઉપાડી જાય એ કહેવાય નહીં. અલ્યા તારું પોતાનું નક્કી કરેલુંય અદબદ છે ! પણ કહે છે શું કે ઇચ્છા નથી. નક્કી કર્યું હોય કે નથી જ ઉપાડવા, હવે તો આટલા બચાવવા જ છે. અલ્યા તું જ બચવાનો નથી ને આ શી રીતે બચવાના છે તે ! અલ્યા, આ કઈ જાતની પોલિસી લઈને બેઠો છું (પા.૨૩૧)તે !! એના કરતાં ખાઈ-પીને વાપરને, તાજાં શાક આવે છે તે ખાને નિરાંતે ! ફ્રૂટ લાવીને નિરાંતે ખા, અને બૈરીને બે-ચાર સારા દાગીના ઘડાવી આપ. પેલી બિચારી રોજ કચકચ કરતી હોય તોય અલ્યા નથી લાવી આપતો !! આ બધું શું છે ? પૂરણ-ગલન છે. અમે અમારા જ્ઞાનથી જોઈને કહ્યું છે આ ! હવે કશો ભો ભણકાર રહ્યો છે ? એક બાજુ ‘વ્યવસ્થિત’ છે કહીએ અને બીજું કહીએ બેન્કના સરવાળા-બાદબાકી અગર તો ચોપડાના એકાઉન્ટના સરવાળા બાદબાકી, અગર તો પેલો ઇન્કમટેક્સવાળો ગજવાં કાપી લેશે, તે બધું ‘નેચરલ’ છે. એ એના હાથમાં સત્તા નથી. એ તો બિચારો નિમિત્ત છે. પણ ગુણાકાર-ભાગાકાર તમારા હાથમાં છે. ‘આ’ ‘જ્ઞાન’ લીધું એટલે હવે એ ગુણાકાર-ભાગાકાર તમે હવે ‘પોતે’ કરો નહીં. કારણ કે ‘તમે’ તો ‘આત્મસ્વરૂપ’ થઈ ગયા. આ તો ક્યાં સુધી ગુણાકાર-ભાગાકાર કરતા હતા ? ક્યાં સુધી યોજનાઓ ઘડતા હતા ! અજ્ઞાન હતું ત્યાં સુધી. અને હવે જો એવું ઓઢીને યોજના કરીએ તો તે ‘ઇફેક્ટ’ છે. એ યોજના આવતા ભવના માટે નથી તે નિકાલી યોજનાઓ છે. બે પ્રકારની યોજનાઓ – એક ગ્રહણીય યોજના અને બીજી નિકાલી યોજના. ગ્રહણીય યોજનામાં મહીં ચૂન-ચૂન-ચૂન-ચૂન થયા કરે. નિકાલી યોજના શાંત ભાવે થયા કરે. યોજના જે કરી છે એનો નિકાલ તો કરવો પડે ને ? અને તમારે આખો દહાડો નિકાલી ભાવ રહે છે ને ? તે આજ કહેશે કે પૈસા છે તે બે વર્ષ પછી કશું જ ના હોય. એટલે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે ? ચંચળ સ્વભાવની. એનું કંઈ ઠેકાણું ના માનવું. બહુ એટલો બધો એનો આધાર ના માનવો. આધાર એકલો આત્માનો માનવો. બીજી બધી વસ્તુ ચંચળ છે. દુઃખિયાની વ્યાખ્યા ?એટલે એવું માંગીએ કે કંઈ માંગવું જ ના પડે. પ્રશ્નકર્તા : એ જ માંગ્યું છે. દાદાશ્રી : એ તો માંગવું પડે જ ને ! (પા.૨૩૨)બીજી શેની ઉપાધિ છે તને ? તને કાઢી આપું. ઉપાધિ બધી નોંધાવી દે આજે. પ્રશ્નકર્તા : ધંધાદારીની ઉપાધિ છે. દાદાશ્રી : ધંધાદારીમાં શું જોઈએ ? ઉપાધિ ક્યારે ન હતી ? પ્રશ્નકર્તા : હમણાં વધેલી છે. દાદાશ્રી : પણ ઉપાધિ ન હતી ક્યારે ? એ મને કહે ને ? કયા વર્ષમાં ન હતી ઉપાધિ તારે ? પ્રશ્નકર્તા : પહેલાં તો બધું સીધું ચાલતું હતું, જ્યાં સુધી લેબર ટ્રબલ હતી નહીં ત્યાં સુધી. મારે એક ફેક્ટરી છે. દાદાશ્રી : પાંચ લાખની ફેક્ટરી હોય અને પોતાની જાતને મહાન દુઃખી છે, એમ માનીને સૂઈ જાય આખી રાત ! બે લાખનો ફ્લેટ હોય, વીસ લાખની વહુ હોય. તોય ચિંતા હોય !!! જો માની બેઠા છે ! આખી ખોટી માન્યતા, રોંગ બિલીફો !!! પોતાની પાસે સાધન ના હોય તોય દુઃખિયો, સાધન હોય તોય દુઃખિયો ! ક્યારે તું દુઃખિયો ન હતો એ મને કહે ! નિરાંતે જમે છે કોઈ દહાડો ? નિરાંતે ? એટલે માથેથી ભાર ઉતારીને કે, ‘હે દુઃખ! તમે બેસી રહો !’ આવું બોલો તો દુઃખ બેસી રહે ! મને તો આવું આવડતું હતું. હું તો દુઃખને કહી દઉં, ‘અરે ! બેસી જા થોડીવાર, મને જમી લેવા દે પછી આવજે.’ આપણે ઊભું કરેલું તેને આપણે બેસાડીએ તો બેસી જાય. ઊભું તો આપણે જ કરેલું છે ને ! આ બધાં દુઃખો તને અમે કાઢી આપીએ. કાઢી આપવાનો વાંધો નહીં. ગભરાઈશ નહીં. એ તો બધાય દુખિયા હોય, હુંયે દુખિયો હતો ! એવું મનમાં ના રાખવું કે આ દુખિયો શાથી હું થઈ ગયો ! તું દુખિયો છે નહીં. એવું તું માની બેઠો છે. મારી પાસે તો બધાય આવ્યા, તેમાં કોઈએ એમ નહીં કહ્યું કે ‘સાહેબ, હું બહુ સુખિયો છું’ જ્ઞાન મળ્યા પછી સુખિયા થઈ ગયા ! પણ પહેલાં તો કોઈ એમ નહીં કહેતું કે, ‘સાહેબ, સુખિયો છું.’ આપણે પૂછીએ, ‘કેમનું ચાલે છે ?’ તો કહે, ‘ઠીક છે હવે !’ (પા.૨૩૩)આ તે કેવી નાદારી ?એક મિલવાળા શેઠને કહ્યું, ‘કેમ ચાલે છે, તમારા ધંધારોજગાર ?’ ત્યારે તેમણે કહ્યું, ‘બધું ડિરેલમેન્ટ થઈ ગયું.’ મેં કહ્યું, ‘બહુ સારું થઈ ગયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ !’ આ રેલવેમાં ડિરેલ થઈ જાય તો બે-ચાર દહાડા માસ્તરો ચા-પાણી કરશે, ખાશે-પીશે નિરાંતે ! મેં એમને પૂછ્યું, ‘શાથી એવું થઈ ગયું ?’ ત્યારે કહે, ‘થોડા ઘણા રૂપિયા મિલમાંથી કમાયો, તે બેંકમાં ભરવા ગયો, તે બેંકવાળાએ પછી પાછા આપ્યા જ નહીં ! હવે આપતા જ નથી ! પહેલાં બેંકમાંથી લોન લાવેલો, તે બેંકવાળા પાછા આપતા જ નથી. તેથી મારું ટાઢું પડી ગયું છે. હવે મને કંઈ વિધિ કરી આપો. મેં કહ્યું, ‘કરી આપું ! કરી આપું !’ એટલે મને લાગ્યું કે આ બિચારા બહુ દુઃખી છે. આ માણસને બેંક આપે નહીં, ભલેને એમને મિલ હોય, પણ મિલને કરે શું તે ? મિલને ઓઢે કે પાથરે ? એટલે પછી એમને ઘેર મને ને બધાંને બોલાવ્યા. કહે છે, ‘પધરામણી કરોને મારે ઘેર, પગલાં પડે તો મારું કંઈક કામ થાય.’ તે મેં કહ્યું, ‘આવીશું.’ તે અમે એને ઘેર ગયા. ચા-પાણી-નાસ્તો લીધો એનો. પછી એક પાકીટમાં રૂપિયા આપવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, ‘તમારા રૂપિયા ના લેવાય. આવી તમારી સ્થિતિમાં અમારે રૂપિયા શું કરવા છે ?’ હજાર જ રૂપિયા હતા, વધારે ન હતા. ત્યારે એ કહે, ‘ના, દાદાજી, એ તો લેવા જ પડે.’ ‘દાદાજી, એવું નથી પણ તમે જેટલું કહો છો એવું નથી, એ તો બીજું કારખાનું છે ને એમાંથી બાર મહિને પાંચ લાખ રૂપિયા આવે છે.’ મેં કહ્યું, ‘અલ્યા, તમારી જોડે હું ક્યાં બેઠો આ ? ‘હું મારા મનમાં સમજું કે આ હપૂચી બધી સ્ત્રીઓથી રાંડ્યો, અને તું તો કહું કે અહીં બીજી છે !!! ‘બીજા પાંચ લાખ આવે છે.’ કહે છે. હવે આમને ક્યાં પહોંચી વળાય ? પછી એને જરા રાગે પાડી આપ્યું, જ્ઞાન આપ્યું. અત્યારે સુખિયો થયો છે ! એ કહે, ‘દાદા તમે મને ખરું શિખવાડ્યું. ભાઈઓ જોડે મારે વેર હતું, તે વેર તમે મારું બધું તોડી નખાવ્યું. દાદાજી તમે ખરું શિખવાડ્યું. તે ઘેર દોડતા આવે છે !’ મેં કહ્યું, ‘તમે મિલમાલિક તે તમને શરમ નથી આવતી અહીં આવતા ?’ ત્યારે એ કહે, ‘શાની ? તમારી પાસે આવવાની શાની શરમ તે ? બીજે જવાની શરમ આવે. (પા.૨૩૪)‘ભોગવે તેની ભૂલ’ એ મને બહુ સારું ફિટ થઈ ગયું છે. મેં અત્યાર સુધી ભોગવ્યું. તે મારા મનમાં એમ કે આ ભાઈઓ જ ભોગાવડાવે છે. પણ ભૂલ તો મારી જ છે. હવે સમજાઈ ગયું. હું તો ભાઈઓને વેરને માટે, તો ભાઈઓને આમ કરી નાખું ને તેમ કરી નાખું એવા જ બધા ભાવ રાખતો !’ ત્યારે મેં કહ્યું, ‘હવે બધું છોડી દે છાનોમાનો. ડાહ્યો થઈ જા !’ પણ એના હજાર લીધા દાનમાં પછી તો, બીજા પાંચ લાખ દેખાડ્યા કે હજાર દાનમાં લીધા ! કેવી અવળી દ્રષ્ટિ !એક ભાઈને કરોડ રૂપિયાની ઉઘરાણી ફસાઈ હતી. તે અહીં દર્શન કરવા આવ્યા હતા. એમણે વિધિ કરાવડાવી. છ મહિના પછી બીજી વાર આવ્યા. ત્યારે એમણે કહ્યું, ‘હજી પચ્ચીસ લાખ બાકી છે, તેની વિધિ કરી આપોને ! પંચોતેર લાખ રાગે પડ્યું તોય પચ્ચીસ બાકી.’ કરોડમાં ચાર આનાય આવે એવા ન્હોતા. એવું એ મને કહેતા હતા. એમાં પંચોતેર આવ્યા તોય એ કહે, ‘હવે પચ્ચીસ બાકી છે તેની વિધિ કરી આપો !’ આપણાં લોક એવાં છે. ‘અલ્યા, પંચોતેર આવ્યા તે તો ગણને હવે.’ ...તોય દુઃખી ?અમે એક ફેરો એક જગ્યાએ ગયા હતા. ત્યાં એક ભાઈ આવ્યા, એમણે જાણ્યું કે દાદાજી કોઈ મોટા જ્ઞાની પુરુષ છે, અને એ બધું આપણને રાગે પાડી આપે છે. એમના આશીર્વાદથી બધું સારું થઈ જાય છે. તેથી તે આવ્યા. તેમણે મને કહ્યું, ‘મારું બધું જ જતું રહ્યું છે, કશું જ ના રહ્યું. મેં કહ્યું, ‘ક્યાં રહો છો તમે ?’ ત્યારે તેમણે કહ્યું, ‘અહીં, જોડે જ રહું છું.’ મેં પૂછ્યું, ‘તમારે ફ્લેટ નથી ?’ ત્યારે કહે, ‘ફ્લેટ તો છે પણ આ ફ્લેટને શું કરું હું ? અમારા ભાગીદારે પહેરેલ લૂગડે અમને કાઢ્યા !’ મેં કહ્યું, ‘થોડીઘણી રકમ તો પાછી આપશે ને !’ ત્યારે કહે, ‘ના, હવે કંઈ આપે એવું હમણાં કંઈ દેખાતું નથી. પછી હવે ઝઘડા કરીએ ને કોર્ટે જઈએ ત્યારે થાય !’ તે મેં જાણ્યું કે આ તો બહુ દુઃખી થઈ ગયા હશે. એટલે મારા મનમાં એમ કે આની ‘વિધિ’ વહેલી કરો. પછી મેં થોડીવાર ધીરજ પકડી. પછી પૂછ્યું, ‘ત્યારે હવે તમારે (પા.૨૩૫)સર્વિસ કરવા જવું પડશે ! મેઈન્ટેનન્સ કરવા માટે શું થાય ? સર્વિસ કરવા જવું પડશે ? ત્યારે એ કહે, ‘ના, એમ તો પચાસ લાખ રૂપિયાનું મારી પાસે સાધન છે.’ ત્યારે મને થયું કે આ લોકોનો વિશ્વાસ ના કરાય. આ લોકોની જોડે આપણે પડવું ના જોઈએ. ‘આમ તો પચાસ લાખની મૂડી ખરી, પણ આમ બધું લૂંટાઈ ગયો’ એમ કહે છે ! એટલે આટલા પૈસાએ આ લોકો આટલા દુઃખી છે તો ખરેખર દુઃખ હશે ત્યારે શું થશે આમનું ? દરેક માણસ કહે કે ખરેખર આ ભાઈ દુઃખી છે, લોકો કહે એ જ દુઃખી છે અત્યારે તો. આમને લોક શું કહે ? સુખિયા છે. મેં તો મારી જાતનેય સુખિયા કહેલું, આજુબાજુનાં લોક કહે છે કે અંબાલાલભાઈ ઘણા સુખિયા છે અને તમે એમ માની બેઠા છો કે હું દુઃખી છું. કઈ જાતના માણસો છો ? આમ હું એમને પૂછું, વઢું હઉ એમને ! આજુબાજુના તે પૂછીએ. ત્યારે બધાં કહે, ‘એ સુખી માણસ છે’ પછી ઢાંકીને સુખી દેખાતા હોય કે ગમે તે. ઢાંકીને ય સુખી દેખાય કે ના દેખાય ? ઉઘાડું ના થવા દે ને ? પ્રશ્નકર્તા : ના. ના, કાગડા બધેય કાળાદાદાશ્રી : તમારું રાગે પડી જશે ભઈ, હં કે ! ધંધામાં નથી ફાવતું ? પ્રશ્નકર્તા : ફાવે તો છે પણ લેબરની ટ્રબલ ઊભી થઈ છે એટલે જરા મનમાં અશાંતિ રહ્યા કરે. દાદાશ્રી : તે લેબરની ટ્રબલ ના હોય એવો ધંધો ખોળી કાઢને ! આ કોઈ ટ્રબલવાળાને સોંપી દેવી, પૈસા લઈને આપણે અહીં ટ્રબલ આવે તો અહીંથી અહીં ખસી જવું. લેનારાય છે ને દેનારાય છે. વેચનારાને વેચીએ તો એ લે કે ના લે ? આ ઓછું પૈણેલી ચીજ છે તે કંઈ કાયમ ના કાઢી મુકાય ? પ્રશ્નકર્તા : એ તો અહીંયા મહારાષ્ટ્રમાં ટ્રબલ બહુ છે. એટલે અમારે હવે ગુજરાતમાં શિફ્ટ થઈ જવું છે. દાદાશ્રી : આપણે ત્યાં જઈશું તો એ ટ્રબલ ત્યાં આવીને ઊભી રહેશે. આ દુઃખ તો કંઈ છોડવાનાં ઓછાં છે ? કેટલા ભાગીદાર છે ? (પા.૨૩૬)પ્રશ્નકર્તા : ભાગીદાર કોઈ નથી. પોતે જ પ્રોપ્રાયટર છું. દાદાશ્રી : ઇન્કમટેક્સ કેટલો ભરવો પડે છે ? સેકડે બે ટકા. લોક સીધી રીતે ઇન્કમટેક્સ ભરતા હશે ? અને સર્વિસવાળાને તો એમ ને એમ ઇન્મકટેક્સ કાપી જ લે, પછી એમને નોખું આવ્યું જ ક્યાં ? એટલે એક સર્વિસવાળા હતા, રિસર્ચમાં. તે મને કહે, ‘ત્રેપનસો રૂપિયા પગાર મળે છે. હવે કંપની કહે છે કે ‘અમે તમને પગાર વધારીએ.’ મેં કહ્યું, ‘ના, મારો પગાર ના વધારશો, હું કંટાળી ગયો છું. મને એક ગાડી તમારી આપો ફક્ત. ગાડી હોય એટલે મારે આવવા-જવાનું ફાવે. પગાર વધારો તો તે પાછા પેલા લોકો લઈ જાય. ‘કોણ લોકો લઈ જાય ?’ ‘સરકાર.’ એવી કંઈ કળા હશે જ ને ? એમાંય કળા ખરી ને ?? એય આવડે છે ને ?! ઊંટ કરે ઢેકડા ને માણસ કરે કાંઠડા. આ દુઃખ તમારું બધું જતું રહેશે. દુઃખ તો કાઢવું છે ને ? આપણી આ લેબરની ટ્રબલ કાઢવી કે આપણી ટ્રબલ કાઢવી ? પ્રશ્નકર્તા : આપણી. દાદાશ્રી : આપણી ટ્રબલ નીકળી ગઈ તેને બધીયે નીકળી ગઈ. જેને પોતાની ટ્રબલ નીકળી એને બધીયે નીકળી ગઈ. પ્રશ્નકર્તા : પછી વડોદરા શિફ્ટ થવાની જરૂર નહીં ને ? દાદાશ્રી : શેનું વડોદરા જવાની જરૂર ? જ્યાં જુઓ ત્યાં આગળ ને આગળ આવશે. આપણે સેફસાઈડ ખોળીએ, પણ જ્યાં જુઓ ત્યાં આની આ માયા આગળ આવ્યા વગર રહેશે નહીં. એક નહીં ને બીજી, પણ ટ્રબલ તો નિરંતર રહેવાની જ. આપણી જો ટ્રબલ નીકળી જાય તો કોઈ ટ્રબલ રહેશે નહીં. તમારાં વાઈફ તમને ખરું કહે છે કે જ્યાં જશો ત્યાં ટ્રબલ આવશે. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા ને કાળા છે. હું બધે જઈ આવ્યો. કેટલીક જગ્યાએ વિશેષ પડતા એકદમ કાળા છે. અને કેટલાક અહીં આગળ જરા કોલરવાળા છે. હું બધે જોઈ આવ્યો પણ આ સિવાય બીજી નાત નથી. જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા ! ત્યાં કેસ મૂકો ઊંચોપ્રશ્નકર્તા : મારે એક પ્રશ્ન ઊભો થયો છે. એક રિક્ષાવાળાને મેં (પા.૨૩૭)પેપરનું પાર્સલ બીજે ગામ પહોંચાડવા આપ્યું. તેણે તે ટ્રકમાં મોકલી આપ્યું ને ઉપરથી પૂરા પૈસા માંગે છે. પાર્સલ મોડું પહોંચ્યું. મેં તપાસ કરાવી તો બધી ખબર પડી ગઈ. હવે પેલો રિક્ષાવાળો રોજ ઓફિસમાં આવી હેરાન કરે છે ને હું કહું છું કે તને એક પૈસોય નહીં મળે. ત્યાં શું કરવું ? દાદાશ્રી : ઊંચું મૂકી દો. હરેક કેસ ઊંચા મૂકવા અને બાઝવું હોય, એવો તાંતો રાખવો હોય તો કોઈ શ્રીમંત જોડે રાખવો. ચપ્પા વગરનો હોય ત્યાં તાંતો રાખવો. આ ગરીબ બિચારા, ખાવાનુંય ઠેકાણું નહીં હોય, દારૂ પીને ફરતો હોય. એની જોડે ઉકેલ લાવી નાખવો. ઝઘડવામાં પણ વિવેકઅત્યારે બધું ગૂંચાઈ ગયેલું છે. એટલે આંગળી ના કરશો. આ પોટલાં ઊંચકવાવાળા વધારે પૈસા માંગેને તો, કોઈ માણસ ઊંધો ચોંટી પડે કે આટલા તો પૈસા આપવા જ પડશે. તો આપણે, એને કહીએ કે, ‘ભઈ, જરા ભગવાન તો માથે રાખ.’ તોય કહેશે કે, ‘ભગવાન શું માથે રાખે ? બે રૂપિયા ના લઈએ ત્યારે ખાઈએ શું ?’ એટલે પછી આપણે કહીએ કે, લે ભઈ, આ બે રૂપિયા ને ઉપરથી આ દસ પૈસા. આપણે જાણીએ કે આઠ આનાનું કામ હતું પણ આણે બે રૂપિયા લીધા તે આપણે જાણ્યું કે આવું તો કો’ક દહાડો મળે, રોજ આવું મળે નહીં, બીજે દહાડે ખોળવા જઈએ તો યે એવો મળે નહીં, મજૂરો જ કહેશે કે, કાકા, બે રૂપિયા તે લેવાતા હશે ? એટલે કોઈક વાર બે રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર દોઢ રૂપિયાવાળો મળી જાય, કોઈકવાર આઠ આનાવાળોયે મળી જાય. આપણને કેમ આ ભેગો થયો ? આ આપણું ઈનામ છે, માટે એને આપી દો. કોઈને સહેજે હલાવશો નહીં, કારણ કે બધું સળગી ઊઠેલું છે. આમ ઉપરથી એમ લાગે કે કશું સળગ્યું નથી. ભડકો થયો નથી, પણ મહીં ઘુમાઈ રહેલું છે. જરાક આંગળી અડી કે ભડકો થશે. માટે આ કાળમાં કોઈ જાતની કચ-કચ કોઈની જોડેય ના કરવી. બહુ જોખમદારીવાળો કાળ છે. એ બગડેને ત્યારે કહીએ, ‘ભઈ અમારે પણ ધંધો કરવાનોને, પછી અમે શું ખાઈએ ?’ એમ તેમ કરીને અટાવી-પટાવીને કામ લેવા જેવો (પા.૨૩૮)વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ઘણ મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં, એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તોય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાં ને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાંય પ્રકૃતિ જોઈ લેવી. આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાહ્યો છે, એ ડાહ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠ્યો એ શું ખબર પડે ? છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો ? માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે. એટલે બિચારાને બહુ અકળામણ હોય છે. મહીં બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પુ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે દે ? પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને ? પ્રશ્નકર્તા : એને પોતાનું દુઃખ તો હશે જ, પણ અત્યારે તો આમ રસ્તે જાય છે તો વાતે વાતે કોઈ લેવાદેવા વગર આમ સળગ્યું જ છે, આમ એને હાથ અડી ગયો કે સીધી મારામારી ઉપર જ જવાનો. દાદાશ્રી : અરે, મારામારી તો શું ? એ કંઈ નવી જ જાતનું કરી નાખે. મારામારીમાંથી જો ખસી ના જાવને તો ચપ્પુ મારી દે. એટલે એમને તો એમ કહેવું પડે કે ‘મારે લીધે તને કંઈ વાગ્યું હશે.’ એમ-તેમ કરીને છૂટી જવું જોઈએ. આ તો જંગલી પાડા લઢતા હોય તેમાં મોટા રાજા હોય તોય એનાથી જવાય ખરું ? એ પાડા રાજાનું માન રાખે ખરા ? એવું આ જંગલી પાડા જેવું થઈ ગયું છે અત્યારે ! એટલે કોઈનીય જોડે કચકચ ના કરશો. ને એવા કોક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીએ એમાં શું કાઢવાનું ? પહેલું એકવાર કહી મૂકીએ કે ‘આ ભગવાન તો માથે સંભાર’ ત્યારે કહે, ‘ભગાવન-બગવાન શું ?’ એ બીજા શબ્દ નીકળેને એટલે આપણે સમજી જઈએ કે આ હુલ્લડવાળો છે ! પ્યાલા ફૂટે ત્યારે...એક શેઠ આવ્યા’તા. મેં એમને કહ્યું, ‘અમે પચ્ચીસ જણ તમારે ત્યાં (પા.૨૩૯)ચા પીવા આવીએ ત્યારે નોકરના હાથમાંથી પચ્ચીસ કપરકાબી પડી જાય ત્યારે તમને શું થાય ?’ ત્યારે એ કહે છે અમે નોકરને એટલું પૂછીએ કે, ‘ભાઈ દાઝ્યો નથીને ?’ ત્યારે મેં કહ્યું, ‘બહુ સારું કહેવાય.’ જો હિન્દુસ્તાનમાં અજાયબી કેવી ભરેલી હોય છે !! નહીં તો પચ્ચીસ પ્યાલા-રકાબી ફૂટે કે પહેલાં તો તરત જ મનમાં વિચાર આવે કે સવાસો રૂપિયાનું નુકસાન કર્યું આ નોકરે. ગુણાકાર નક્કી થતા હશે, નહીં ? પેપર પર તો જરા વાર લાગે પણ આ મનમાં તો વાર ના લાગે ! પછી મેં કહ્યું, ‘ગજવું કપાય તો !’ ત્યારે એ કહે, ‘એને જરૂર હોય તો લઈ જાય ને નહીં તો ના લઈ જાય.’ એટલે મને એમ થયું કે આવા જો ગુણ આવ્યા હોત તો હું કે’દહાડાનો ભગવાન થઈ ગયો હોત. તમે વાત સરસ કરો છો પણ તે એકુંય માણસ સુધર્યું નહીં તમારા હાથે ? પ્રશ્નકર્તા : અઘરામાં અઘરું તો નોકરને સુધારવાનું હોય. તે નોકર સુધરી ગયો. દાદાશ્રી : નોકર સુધરી જાય. નોકર તો એમ જાણે કે આ શેઠાણી સારાં છે. એવું ઓળખે, પણ આ તો ઘરનો મેમ્બર, ‘મેમ્બર ઓફ ધી હોમ’. ‘હોમ મેમ્બર’ના માને. નોકર તો સુધરે. અરે, તમારું ને મારું ઓળખાણ હોત તો હું સુધરી જાત. વાત સરસ કરો છો. સામાને ફિટ થાય એવી વાત છે, પણ ‘હોમ મેમ્બર’ ના માને. બહુ મોટા શેઠિયાનેય પ્યાલા ફૂટી જાય ઘરમાં તો અજંપો થાય, તો અલ્યા કયા ગુરુ કરવા ગયો હતો તું ? પ્યાલા ફૂટી જાય તોય તારો અજંપો જતો નથી, એવું તે શું જાણ્યું તે ? આ તો અજ્ઞાન જાડું કર્યું ! અજ્ઞાનીના સંગમાં પડ્યો તેથી અજ્ઞાન જાડું થયું એટલે કપ ફૂટ્યા કે તરત એને ખ્યાલમાં આવી જાય કે આ તો બહુ નુકસાન થયું ! પંદર-વીસ રૂપિયાનું નુકસાન થયું ! પછી રોકકળાટ ચાલુ !! આ આદિવાસીઓને પ્યાલા ફૂટી જાયને, તો અજ્ઞાન પાતળું, એટલે કશુંય નહીં, ને આ તો અજ્ઞાન જાડું !! (પા.૨૪૦)જોડાનીય કાંણનોકર પ્યાલા લઈને આવે અને ફૂટી જાય તો મહીં કશું થાય કે ના થાય ? જુઓને પ્યાલાની કાંણ કરે છે. છોકરાંનીયે કાંણ કરે ને પ્યાલાનીયે કાંણ કરે. સંસારીઓને તો બધાંની જ કાંણ કરવી જોઈએને ? અરે ! જોડા ખોવાઈ ગયા હોયને તો આ મોટા મોટા શેઠિયા હોય છેને તો એય કાંણ કરે. દહાડામાં જે આવે તેને કહ્યા કરશે કે મારા નવા બૂટ હતા, તે જતા રહ્યા. અલ્યા, કાંણ શેની કરે છે ? કાંણ કોઈનીય કરવાની ના હોય. જોડો ગયો એટલે આપણે જાણીએ કે કોઈક પુણ્યશાળીના હાથમાં ગયો છે. એની પુણ્ય હોય ત્યારે જ આવો મોંઘો જોડો ભેગો થાયને ? નહીં તો શેઠિયાનો જોડો ક્યારે ભેગો થાય ? પણ આપણે સમજી જવાનું કે આપણો હિસાબ ચૂકતે થઈ ગયો ! હવે એવું એક ફેરો બન્યું’તું ! એક મિલવાળા શેઠ હતા તો એમના દોઢસો રૂપિયાના બૂટ હતાને, તે બધાં રૂમમાં જમવા ગયા તે એ બૂટ પહેરીને કોઈક લઈ ગયું. પછી શેઠને તો બહાર જવાનું થયું, ત્યારે બૂટ ના જડ્યા. પછી તો મનમાં થોડીવાર કાંણ થઈ ! હવે કાંણ ક્યારે કરાય ? જમાઈ મરી ગયો હોય, ત્યારે કાંણ થાય. પણ તે આ બૂટની કાંણ કરી શેઠે ! પછી બપોરે એમને ત્યાં બીજા કોઈ ઓળખાણવાળા હતા તે આવ્યા. તો શેઠ એને કહે છે, ‘વખત કેવો બગડી ગયો છે ? દોઢસો રૂપિયાના મારા બૂટ કોઈ લઈ ગયો.’ અલ્યા ફરી પાછી કાંણ કરી ?! કેટલી વખત આવી કાંણ કરી છે બળી ! સાંજે ફરી ચાર જણને કહે. આવી કાંણો કર્યા કરે ! અલ્યા, આની કાંણ કરવાની હોતી હશે ? લાચારી મહાપાપઅને લાચારી જેવું બીજું પાપ નથી, લાચારી થતી હશે ? નોકરી ના મળતી હોય તોય લાચારી, ખોટ ગઈ તોય લાચારી, ઈન્કમટેક્સ ઓફિસર ટૈડકાવતો હોય તોય લાચારી. એય અલ્યા, લાચારી શું કરે છે તે. બહુ ત્યારે પેલો પૈસા લઈ લેશે, ઘર લઈ લેશે. બીજું શું લઈ લેશે ? લાચારી શેને માટે કરવાની ? લાચારી તો ભયંકર અપમાન છે ભગવાનનું. આપણે લાચારી કરી તો મહીં ભગવાનને ભયંકર અપમાન (પા.૨૪૧)થાય. પણ શું કરે ભગવાન ? પ્રશ્નકર્તા : ભગવાન પોતે ફસાયા છે. દાદાશ્રી : ધંધામાં ખોટ આવશે, આમ થશે, અલ્યા મેલને પૂળો, ‘નાદારી આવ’ કહીએ. અમે આ સૂતા. એથી મોટું પદ કયું આવશે ? જગતથી તરીને બેઠેલા છીએ. ડૂબેલા ડૂબશે. મોક્ષે જવું છે એને કોઈ કાયદો નડતો નથી. મારીને આલી દે ને નીકળી જાય તો વાંધો નથી. આ તો જ્ઞાની પુરુષનો આપેલો શુદ્ધાત્મા છે. ભય પમાડે કે આવતી સાલ અઢી ગણી ખોટ આવશે. તો કહીએ, આવજો નાદારી. અમે તો સૂઈ જઈએ. એકનો એક છોકરો મરી જાય તો કહીએ, ‘સર્વસ્વ ચલે જાય’ પણ લાચારી ના હોય. ખોટ ત્યાંથી જ નફોવ્યાવહારિક કાયદો કેવો છે ! શેરબજારની ખોટ થયેલી હોય તો તે કરિયાણા બજારથી ના વાળીશ. શેરબજારમાં જ વાળજે. મૂળ આ ગજું નહીં અને કામ કરવા ગયા. એટલે ખોટ ખાય અને પછી કરિયાણાની દુકાન કાઢીને ખોટ વાળે એવાં આ લોક. પહેલાં ત્રાજવે તોલી તોલીને આપે ને પછી ભેળસેળ કરીને આપે. પણ કહેશે ખોટવાળો. અલ્યા, આવું ના કરાય. નરી પાપ-હિંસા થઈ રહી છે. ત્યાં પાછો ફરી જા અને શેરબજારમાં દોસ્તી કરીને પછી લગાવ પાછો. મૂઆ જે ગામની ખોટ હોય તે ગામમાં જ વાળીને આવીએ. આ હિસાબ મેં નાની ઉંમરમાં કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કંટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા, ખોટ એમ ના નીકળે. કંટ્રાક્ટના ધંધાની ખોટ કંટ્રાક્ટથી નીકળે પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઊલટો લોક તારો ગલ્લોય લઈ જશે ને તારું તેલ કાઢી નાખશે. એનાં કરતાં પૈસા ના હોય, તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું, (પા.૨૪૨)કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્તી-બોસ્તી બધું મળી આવે. આપણે નક્કી કરવું કે ખોટું નથી કરવું, કાયમને માટે ખોટું નથી કરવું અને રૂપિયા, આના, પૈસા આપી દેવા છે, વહેલે મોડે પણ આપી દેવા છે. આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે એવું નક્કી કરવું જોઈએ. એટલે નિયમ કેવો છે, જ્યાં જે બજારમાં ઘા પડ્યો હોયને તે બજારમાં જ ઘા રુઝાય. એવું છે જ્યાં ઘા થયો હોયને તે એરિયામાં જ એની રુઝાવાની દવા હોય. આપણે જે ગુનો કરી આવ્યા એ ગુનાની જગ્યાએ હિસાબ પૂરો ના કરીએ તો બીજી જગ્યાએ ગુના ના કરાય પણ આ તો બુદ્ધિ જ ફસાવે છે. ભગવાને મોક્ષે જવું હોય તો દ્રવ્યને ગણકાર્યું નથી. એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો અને બીજું એ કે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે, કારણ કે લક્ષ્મી એ અગિયારમો પ્રાણ છે. મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી એ ધ્યેય નિરંતર રહેવો જોઈએ. પછી તમે ખેલ ખેલો તો વાંધો નથી. એ ધ્યેય લક્ષમાં રાખીને તમે ખેલ ખેલો પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ. એટલે આ જગતના કંઈ ‘લૉ’ તો હશે જ ને ! દરેક ધંધા ઉદય-અસ્તવાળા છેને ! બધું ઉદય-અસ્તવાળું જ હોય. મચ્છરો ખૂબ હોય તોયે આખી રાત ઊંઘવા ના દે અને બે મચ્છર હોય તોયે આખી રાત ઊંઘવા ના દે. તો આપણે કહેવું કે ‘હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવોને. આ નફા-ખોટ એ મચ્છરા જ કહેવાય. મચ્છરા તો આવ્યા જ કરે. આપણે એને ઉડાડ્યા કરવાના અને આપણે સૂઈ જવાનું. મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે ‘હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?’ ત્યારે મહીં બુદ્ધિ બોલે કે આ ધંધામાં આટલી (પા.૨૪૩)ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને. મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે, અમને પૂછોને, બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમને પૂછોને, અમારી પાસે અનંત શક્તિ છે. જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળોને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? મહીં અનંત શક્તિ છે. તમારો ‘ભાવ’ ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ હોવા જોઈએ. આપણા ‘ભાવ’ નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને, કોઈ સોદો જ ના કરેને ! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછો દલાલ હોય. એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે, દાદા, બધા જ ઘણાંખરા લોકો અવળું જ બોલે છે, તે શું થશે ? ત્યારે મેં કહ્યું કે, જરા ધીરજ પકડવી પડે, પાયો સ્ટ્રોંગ રાખવો પડે. આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે. આમાં જીવતાં નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય ? બહાર તો જરા વારમાં બીક લાગે. જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધાં કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર તો જો ભય પેઠોને તો તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂર્ચ્છિત હો તો જ ભય ના લાગે માટે મહીં જરા સ્ટ્રોંગ રાખોને ! એટલે જે જગ્યાએ ઘા પડેને તે જગ્યાએ રૂઝાઈ જાય માટે જગ્યા ફેર ના કરીએ. જો કે અમે કાયદાની દ્રષ્ટિએય જાણીએ કે આમ હોવું ઘટે. તોય દુનિયા ચાલે છેને ! કોઈ દહાડોય અટકી નથી. એક સેકન્ડેય અટકી નથી. મિયાંભાઈનુંયે ચાલે છે, એ શું કહે છે કે, કલકી બાત કલ હો જાયેગા ને આપણા હિન્દુઓ કહે છે કે કાલે શું કરીશું ? આ મિયાંભાઈનુંયે ચાલે છે તો તારે શું અટકી જશે ? આ દુનિયા કંઈ બંધ (પા.૨૪૪)થઈ જવાની છે ? પણ એવું છે ને બનતાં સુધી દરિયામાં ઊતરવું નહીં અને ઊતરવાનો પ્રસંગ મળી ગયો તો બીવું નહીં. કાયદો કેવો રાખવો કે દરિયામાં ઊતરવું જ નહીં. કારણ કે દરિયો એ ભૂમિ નથી. એટલે બનતાં સુધી ઊતરવું જ નહીં એવો આપણો કાયદો હોવો જોઈએ. તેમ છતાં દરિયામાં જવું પડ્યું તો ડરીશ નહીં. કારણ આવ્યા ત્યારે આવ્યા, તો હવે ડરવાનું નહીં, નીડર રહેજે. જ્યાં સુધી નીડર રહ્યો ત્યાં સુધી અલ્લા તેરી પાસે ને ડર્યો તો અલ્લા કહેશે, કે ‘જા, ઓલિયા કે પાસ ચલે જાવ, અમારી પાસ નહીં પછી ઓલિયા મળી આવે અહીં આગળ. તે ઓલિયાને કહેશે કે મને કંઈ કરી આપને. એટલે ઓલિયો માળા-બાળા કરી આપે અને એના પૈસા લે. આ અલ્લા કંઈ બહેરા છે ? સાંભળે છે બધુંયે, આપણને ખોટ ગયેલી હોય તો એ ના જાણે ? એટલે થોડુંઘણું સ્ટ્રોંગ તો જોઈએને માણસનામાં. જો કે અમે ધંધામાં તમારા જેવા જ હતા. અમે આ બધું બોલીએ ખરું, આ ટેકનોલોજી બધી મારા ખ્યાલમાં, પણ મન એટલું બધું પોલું નહીં, એટલે દરિયામાં અમે પેસીએ જ નહીં. છતાંય પેઠા તો પછી હિંમત છોડવાની નહીં. એટલે જ્યાંથી ખોટ આવી ત્યાંથી વાળવી. ભગવાનને ત્યાં રેસકોર્સ કે કપડાંની દુકાન, ધંધામાં ફેર નથી. પણ જેને મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઊતરશો, દરિયામાં ના પેસશો. ને પેઠા પણ પછી કુદરતી રીતે નીકળી જવાય. એવી રીતે નીકળી જવું. ધક્કો મારવો નહીં. સ્ટીમરને હું કહું કે તારે અનુકૂળ આવે ત્યારે ડૂબજે, પણ અમારી ઇચ્છા નથી. અમારી ઇચ્છા નથી, બોલવું પડે, કારણ, નહીં તો સ્ટીમર કહેશે કે, આમને અમારી જોડે ભાવ નથી. એટલે સ્ટીમરને કહીએ કે અમારે શાદી મંજૂર છે. અમારે ઇચ્છા નથી છતાં તારે ડાયવોર્સ લેવા હોય ત્યારે લેજે. એવી ફૂંક મારીએ ને પછી ખબર પડે કે તમારી સ્ટીમર ડૂબી છે, તો અમે જાણીએ કે અમે તો પહેલેથી જ કહેલુંને, પછી ડૂબી તો ભો ભડકાટ નહીંને. જ્યારે ને ત્યારે સ્ટીમરો દરિયામાં ડૂબશેને. કંઈ જમીન પર સ્ટીમર ડૂબે ? દરિયામાં જ ડૂબેને ? એટલે ધંધો કરવો કે ના કરવો એવું બેમાંથી એ કશું કહીએ નહીં, કારણ કે એ વ્યવસ્થિતના તાબામાં છે. નહીં તો તમને કહી ના દઈએ (પા.૨૪૫)કે છોડી દો આ બધું ? પણ તે વ્યવસ્થિતના તાબામાં છે. તમેય વ્યવસ્થિતના તાબામાં ને હુંય વ્યવસ્થિતના તાબામાં છું. આપીને મેળવોપ્રશ્નકર્તા : પૈસો કેવી રીતે મેળવવો ? ખોટું કાર્ય કરીને પણ પૈસો મેળવાય ? દાદાશ્રી : એનાં પરિણામ સહન કરવાં હોય તો લેવા. પરિણામ સહન કરવાની શક્તિ હોય તો લેવા. તમારી પાસે ખોટું કરીને કોઈ પૈસા લઈ જાય તો તમને સુખ લાગે ખરું ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કોઈની પાસે ખોટું કરીને પૈસો લેવાય જ નહીં. સામાને દુઃખ થાય એ પોતાને દુઃખ થયા બરાબર છે. ખોટો એક પૈસોય લેવાય નહીં. આપણા પુણ્યનું આવીને મળે એ સાચું. તમારી પાસે કોઈ ખોટું કરીને પૈસા લઈ જાય તો તમને સારું લાગે ખરું ? સામાને દુઃખ લાગેને ? કોઈને દુઃખ થાય એવો ધંધો જ ના કરીએ. આ દુનિયામાં સુખ આપે તો સુખ મળે પણ દુઃખ જ આપે તો દુઃખ મળે. શું આપો છો ? મિક્ષ્ચર આપો છો ? પ્રશ્નકર્તા : સુખ આપવા પ્રયત્ન કરું છું. દાદાશ્રી : છતાં દુઃખ કેમ અપાઈ જાય છે ! પ્રયત્ન કેમ ફળતો નથી ? પ્રશ્નકર્તા : હું અત્યારે લાઈફ ઇન્શ્યોરન્સનું કામ કરું છું. અહીંયાં લાઈફ ઈન્શ્યોરન્સ સચ્ચાઈથી નથી મળતો. એટલે એપ્લિકેશન કરવા માટે જૂઠું કરવું જ પડે છે. એટલે સચ્ચાઈના માર્ગે જવા માંગતા હોય તો વિઘ્નો આવે. એટલે મને એમ થાય કે ખોટે માર્ગે પૈસો કમાવો ? કે એના કરતાં પૈસો નહીં કમાવો ? કે સાચે રસ્તે જવું ? દાદાશ્રી : સાચે રસ્તે જવું. એમાં અંદર શાંતિ રહેશે. ભલે બહાર (પા.૨૪૬)પૈસા નહીં હોય. પણ અંદર શાંતિ ને આનંદ રહેશે. ખોટા રસ્તાનો પૈસો ટકેય નહીં અને દુઃખી દુઃખી કરે. અંદર દુઃખી કરે એટલે ખોટે રસ્તે જવું જ નહીં, એમ નક્કી કરવું અને બધાંને સુખ આપશો તો સુખ મળશે. દુઃખ આપશો તો દુઃખ મળવાની શરૂઆત થઈ. દુઃખ ગમે ખરું તમને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી બીજાને કેમ કરીને ગમે ? તમારામાં જે જે શક્તિ હોય તેનાથી આપણે ઓબ્લાઈઝ કરવા. બીજી રીતે કરવું પણ સામાને સુખ આપવું બધાંને. સવારમાં નક્કી કરવું જોઈએ કે જે મને ભેગા થાય તેને કંઈનું કંઈ સુખ આપવું છે. પૈસા અપાય નહીં તો બીજા બહુ રસ્તા છે. સમજણ પાડી શકાય, કંઈ ગૂંચાયો હોય તો ધીરજ આપી શકાય અને પૈસાય પાંચ-પચાસ ડૉલર તો આપી શકાયને ! કરો પારકાનું ને થાય પોતાનુંજેટલી જવાબદારીથી પારકાનું કરે એ પોતાનું કરે. પ્રશ્નકર્તા : પારકાનું કરે એ પોતાનું કરે. એ કઈ રીતે ? દાદાશ્રી : બધા આત્મા એક જ સ્વભાવના છે. એટલે જે આત્મા માટે કરે તે પોતાના આત્માની પાસે પહોંચે. પારકાના આત્મા માટે કરે તે પોતાના આત્માને પહોંચે અને જે પારકાના દેહ માટે કરે તેય પહોંચે. હા, ફક્ત આત્મા માટે કરે તે બીજી રીતે પહોંચે. મોક્ષમાં જવાનો રસ્તો ખુલ્લો થઈ જાય અને દેહને એકલાને માટે કરે તો અહીં સુખ ભોગવ્યા કરે. એટલે આટલો ફેર છે ફક્ત. ને પારકા માટે કરે તો પારકાનું થાય છે. જે પારકાનું કરે છે એ જ પોતાનું કરે છે. એકલું પોતાનું કરે છે એ પોતાનું કરતો નથી. એનાથી પોતાનું કામ પૂરું ન થાય. એટલે પારકા માટે કરવું એનું નામ પુણ્ય કહેવાય, અને પોતા માટે કરવું એ પાપ કહેવાય. તમે આવતા ભવને માટે તૈયારી કરી નહીંને ? પુણ્ય તો બાંધ્યું નહીંને ? પ્રશ્નકર્તા : ખરેખર આવો ભેદ કોઈએ સમજાવ્યો ન્હોતો. દાદાશ્રી : આ છોકરાં ઉછેરે છે તેય પોતાના ફાયદા માટે કરે છે. (પા.૨૪૭)છોકરાં ઉછેરવાં તેય પારકાનું કર્યા બરાબર છે. ભલેને મોહથી ઉછેરે છે, પણ પારકાનું કરે છે. એટલે જે છોકરાં ઉછેરે તેનેય ખાવાનું તો મળે. કોઈનું કશું ના કરે તેવા હોય, પણ છોકરાં ઉછેરેને, તો એનું ખાવાનું તો મળે. પારકાનું કરવું એ જ ધર્મ છે. પોતાનું તો છૂટકો જ નથી. એ ફરજિયાત છે. મરજિયાત શું ? પારકાનું કરવું તે. પ્રશ્નકર્તા : પારકાનું આપણે કરવા જઈએ છીએ તો લોકો ઊલટાં આપણને આવીને કહી જાય. ટોણાં મારે કે, તમારું સંભાળોને ? તમારાં ઠેકાણાં નથી. દાદાશ્રી : લોક એટલા બધા ડાહ્યા (!) છે કે ઊંધે રસ્તે લઈ જાય એવા છે. પોતે ઊંધે રસ્તે જાય અને બીજાને ઊંધે રસ્તે લઈ જાય. આ તો બહાર ના થાય તો વાંધો નહીં. પરિણામ, દગા-ફટકાનાંધંધામાં દગા-ફટકા કરું છું ? પ્રશ્નકર્તા : બિઝનેસ છે એટલે થોડાઘણાં તો કરવા પડેને ? દાદાશ્રી : એટલે તું દગો-ફટકો કરું છું ? પ્રશ્નકર્તા : એ તો લોકો પણ કરતા હશેને ? દાદાશ્રી : પણ મારું કહેવાનું કે જો આપણે એવું બંધ કરીએ તો સામો બંધ કરે, ત્રીજો બંધ કરે, એવું બધા દગા-ફટકા બંધ કરીએ તો કેવું સરસ લાગે ? બધા એવું કરે છે, માટે તું કરું છું ? પ્રશ્નકર્તા : આ તો બિઝનેસ છે એટલે એવું બોલવું પડેને ? દાદાશ્રી : નહીં તો શું થાય ? પ્રશ્નકર્તા : ખોટું ના બોલીએ તો ઑર્ડર ના મળે, કામ ન મળે, બિઝનેસ ના મળેને ! દાદાશ્રી : લોકોને કેટલી બધી ઊંધી શ્રદ્ધા બેસી ગઈ છે ? આખો (પા.૨૪૮)દહાડો ખોટું બોલીએ તો કેટલો લાભ થાય ? પ્રશ્નકર્તા : કંઈ નહીં. દાદાશ્રી : કેમ ! વધારે ખોટું બોલીએ તો વધારે લાભ ના થાય ? પ્રશ્નકર્તા : એ તો લિમિટમાં બોલીએ તો લાભ થાય. દાદાશ્રી : આ તો એક ભડક પેસી ગઈ છે કે ખોટું બોલું તો જ લાભ થાય ! બેમાંથી એક આઈટમ પર આવો. ભગવાન શું કહે છે ? કાં તો સાચું બોલ ને કાં તો ખોટું બોલ, તો બેઉ પર હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. હું ભગવાનને પૂછું કે ભગવાન, તમે કોની પર રાજી ? ખોટું કરે તેના પર રાજી કે સારું કરે તેના પર ? ત્યારે ભગવાન કહે, ‘ના, તદ્દન સારું કરતો હોય તો તેના પર રાજી છું. અગર તો તદ્દન ખોટું કરતો હોય તેના ઉપરેય હું રાજી છું પણ તું મિક્ષ્ચર ના કરીશ. તું મિક્ષ્ચર કરીશ તો તને સમજણ જ નહીં પડે કે આ ક્યાંથી સુખ આવે છે ? આ તો એમ જ સમજણ પડે છે કે આ જૂઠું બોલે છે તેથી સુખ આવે છે. પછી એવી શ્રદ્ધા માણસને બંધાય. મંદીના નવા ધંધાજરાક મંદી આવે તો શું થાય જાણો છો ? આ ધંધાઓ બધા માંદા પડી જાય. મિલો ‘સીક’ થાય એટલે બધા નોકરો છૂટા થાય. છૂટા થાય એટલે ચોરીનો ધંધો કરવાના. ત્યારે આ સોસાયટીમાં ખબર પડે. નવરો પડે એટલે શું કરે માણસ ? અને પગાર તો વપરાયેલો હોય. એટલે પછી ચોરીઓ કરે. લાંચનું કારણપ્રશ્નકર્તા : લાંચ-રુશવતનું કારણ તો આર્થિક અસમાનતા છેને ? દાદાશ્રી : ના, આર્થિક અસમાનતાને લઈને નહીં. આ તો માણસની વૃત્તિઓ દિવસે દિવસે હીન થતી જાય છે. માણસો ખરાબ નથી પણ (પા.૨૪૯)સંજોગો એવા ઊભા થયા છે, એથી આવી સ્થિતિ ઊભી થઈ છે. બાકી આ જગત જ્યારથી છે ત્યારથી લાંચ-રુશવત તો ચાલુ છે. પણ પહેલાં જુદા પ્રકારની હતી. પહેલાં મસકો મારતા હતા એવી લાંચ હતી. અત્યારે તો બધું રૂપિયા રૂપિયા થઈ ગયું છે. પ્રશ્નકર્તા : કાળા બજારિયાને મોઢા ઉપર કાળા બજારિયા નથી કહી શકાતું. દાદાશ્રી : મારાથી કહેવાય. મારાથી તો કાળા બજારિયો કહેવાય. નાલાયક કહેવાય, ગુંડો છે કહેવાય, બધું બોલાય મારાથી, કારણ કે મારે જોઈતું નથી કશું. જેને કંઈ પણ જોઈતું હોયને, તેણે કશું સારું બોલવું પડે. મીઠું મીઠું બોલવું પડે. મારે કશું જોઈતું નથી. ધંધો કરતા હોય, તે નઠારા માણસ પેસી ના જાય એટલા માટે ‘એય આમ છે, તેમ છે.’ નંગોડો, આમતેમ બોલવું. એટલે નઠારા માણસ હોય તે નાસી જાય બધા. કોઈ નાગા લાભ ના ઊઠાવી જાય. તે નાટક તો કરવું પડેને ! ‘નંગોડ પેસી ગયા છે, આમતેમ’ બોલીએ એટલે નંગોડ હોય તે તરત સમજી જાય કે આ તો આપણને કહે છે ! દિવેલ પીધા જેવું મોં !આ બધા વેપારીઓ મોઢા ઉપર કંઈ દિવેલ ચોપડીને ફરે છે ? ના, છતાં એનું દિવેલ પીધું હોય એવું મોઢું થઈ જાય છે, શાથી ? આખો દહાડો વિચાર કર્યા કરે, કે આ દુકાન મોટી કરું ! હવે આ દુનિયામાં પૈસા કમાવાના વિચાર કોને ના આવે ? એવા કોને ના આવતા હોય વિચાર ? હવે બધા જ જો કમાવા ફરે તો પછી કુદરત પહોંચી શી રીતે વળે ? એ બધાને શી રીતે આપી શકે ? એના કરતાં થોડાક તો એવા રહોને કે ભઈ, મારે પૈસા જોઈતા નથી. જે આવશે તે મારે કરેક્ટ છે. જેટલા એની મેળે આવે એટલા સાચા અને નહીં આવે એવુંય નથી. આ લક્ષ્મી શેના આધીન છે, એની લોકોને ખબર જ નથી. અક્રમ વિજ્ઞાનની અનોખી સમજપ્રશ્નકર્તા : આ જે ખોરાક છે, તે કઈ કમાણીથી મેળવવો ? (પા.૨૫૦)દાદાશ્રી : એ તો એવું છેને, જ્ઞાન ના હોય તેને તો કમાણી નીતિવાળી હોવી જોઈએ તે સારું અને જ્ઞાન હોય એ તો જે તને કમાણી આવે છે તે રીતે તું ખા. જ્ઞાન લેતાં પહેલાં જે કમાણી તું કરતો હોત, એ જ કમાણી તારે ચાલુ રહેવા દેવી. ફક્ત જો ખોટી લાગતી હોય તો મનમાં ખેદ પામ્યા કરવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. બાકી, ખા-પી, મજા કર. રસ-રોટલી નિરાંતે ખાજે. કારણ કે જેવો હિસાબ બાંધ્યો છે, તેવો હિસાબ ફૂટ્યા વગર રહેવાનો નથી અને જેવા ભાવે બાંધેલું છે તેવા ભાવે છૂટશે. એમાં મારું ચાલવાનું નથી ને તમારુંય ચાલવાનું નથી. તેથી અક્રમ વિજ્ઞાન એવું છે કે એમાં કશામાં હાથ જ ઘાલ્યો નથી. તું તારા ભાવમાં આવી જા. બીજું બધું એને જવા દે. મતલબ મગ ચઢાવવાથીપ્રશ્નકર્તા : પ્રામાણિક રહીએ પણ પૈસા ખવડાવ્યા વગર કોઈ કામ નથી થતું. દાદાશ્રી : એ તો હવે એમાં બહુ હાથ નહીં ઘાલવો. મને પૂછે, ‘શું કરીશું આપણે સીમેન્ટ ઓછો નથી નાખતા, લોખંડ નથી કાઢતા, પણ આ તો સાઠ હજારનું બિલ નથી આપતો.’ ત્યારે મેં કહ્યું કે, ‘પાંચસો રૂપિયા આપીને લઈ આવો.’ લઈ આવવું જ પડેને, નહીં તો આપણે ત્યાં માંગતાવાળા આવે તો એને શું આપીએ પછી ? એટલે એવું છે ને બસ્સો-પાંચસો આપીને પણ આપણો ચેક કઢાવી લેવો પડે. પ્રશ્નકર્તા : ત્યાં વ્યાવહારિક થવું પડે. દાદાશ્રી : હા, જમાના પ્રમાણે વ્યાવહારિક થવું પડે. આપણે લેવું નથી એનું નામ લાંચ લીધી ના કહેવાય. આપવાનું તો આપણને ગરજ હોય તો શું કરીએ ? આ તમારા બે લાખ રૂપિયા કોઈ જગ્યાએ દબાઈ રહ્યા હોય ત્યારે પેલો પાંચ હજાર રૂપિયા માંગતો હોય તો આપી આવીએ એને ? પ્રશ્નકર્તા : પણ આપનાર વધારે ગુનેગારને ! લેનાર કરતાં ? (પા.૨૫૧)દાદાશ્રી : એ તો પકડાય ત્યારેને ! પ્રશ્નકર્તા : લાંચ લેવી-આપવી એ કુદરતના હિસાબમાં ગુનો નહીં ? દાદાશ્રી : એવા ગુના ગણે તો ક્યારે પાર આવે. એવું છેને, પોતે કશું ખોટું ના કરવું - એવું નક્કી રાખવું. પણ શું થાય તે ગરજના માર્યા ક્યાં જાય તે ? ઘેર ડિલિવરી આવવાની હોય ને ત્યાં આગળ જગ્યા ન મળતી હોય તો ગમે તેમ કરીને પેલાને પૈસા આપીનેય રસ્તો કરે કે ના કરે ? કંઈ ઘરે ડિલિવરી કરાવાય છે ? એટલે મગ ચઢાવો. છેવટે આ મગને ગમે તે પાણીએ ચઢાવો. કાં તો આજવાનું પાણી હોય કે છેવટે ગટરનું પાણી હોય, જે પાણીએ મગ ચઢે તે પાણીએ ચઢાવી દો, એવું આપણે કહેવા માંગીએ છીએ. આનો પાર નહીં આવે. આ તો હજુ લપસતો કાળ છે. હજુ તો આવું જુઓ છો. પણ હજુ તો કળિયુગ નવી નવી જાતનો દેખાવાનો છે, આનો પાર નથી આવવાનો માટે ચેતી જાવ. ટૂંકમાં જ સમજી જાવ. એમાં ભૂલ કોની ?પ્રશ્નકર્તા : મને મારા મામાએ જે ધંધામાં ફસાવ્યો છે, તે જ્યારે જ્યારે આમ યાદ આવેને ત્યારે મને મામા માટે ખૂબ ઉદ્વેગ આવે કે આ કેમ કર્યું હશે ? મારે શું કરવું ? કંઈ સમાધાન જડતું નથી. દાદાશ્રી : એવું છે કે તારી ભૂલ છે તેથી તને તારા મામા ફસાવે છે. જ્યારે તારી ભૂલ પૂરી થઈ જશે, પછી તને કોઈ ફસાવનારું મળશે નહીં. જ્યાં સુધી તમને ફસાવનાર મળે છેને, ત્યાં સુધી તમારી જ ભૂલો છે. કેમ મને કોઈ ફસાવનાર મળતો નથી ? મારે ફસાવું છે તોયે કોઈ મને ફસાવતું નથી અને તને કોઈ ફસાવા આવે તો તું છટકીય જાઉં ! પણ મને તો છટકતાંય નથી આવડતું, એટલે કોઈ તમને ક્યાં સુધી ફસાવશે ? કે જ્યાં સુધી તમારો કંઈ ચોપડાનો હિસાબ બાકી છે. લેણદેણનો હિસાબ બાકી છે, ત્યાં સુધી જ તમને ફસાવશે. મારે ચોપડાના બધા (પા.૨૫૨)હિસાબ પૂરા થઈ ગયા છે. વચ્ચે તો હું એટલે સુધી લોકોને કહેતો હતો કે ભઈ, જેને કોઈને પૈસાની ભીડ હોય તો મારી પાસેથી આવીને લઈ જજો. પણ મને એક ધોલ મારીને પાંચસો લઈ જવાના. ત્યારે એ લોકો કહે કે, ના ભઈ સા’બ, ભીડમાં તો હું ગમેતેમ કરીશ, પણ તમને હું ધોલ મારું તો મારી શી દશા થાય ? હવે ગમે તે માણસને આ વાત ના કરાય, અમુક જ ડેવલપ્ડ માણસને વાત કહી શકાય. એટલે વર્લ્ડમાં તને કોઈ ફસાવનાર નથી. વર્લ્ડનો તું માલિક જ છે, તારો કોઈ ઉપરી જ નથી. ખુદા એકલા જ તારા ઉપરી છે. પણ જો તું ખુદને ઓળખુંને, પછી કોઈ તારું ઉપરી જ ના રહ્યું. પછી કોણ ફસાવનાર છે વર્લ્ડમાં ! કોઈ આપણી ઉપર નામ દે એવું નથી. પણ આ તો જોને કેટલી બધી ફસામણ થઈ છે ! હજુ તો એકલા મામાએ જ ફસાવ્યા છે, પણ બીબી આવશે ત્યારે બીબી પણ ફસાવશે ! હજી તો તું બીબી લાવ્યો નથી. બીબી લાવશે પછી બીબી પણ ફસાવશે. જ્યાં ને ત્યાં ફસામણ જ છેને ! એવું ફસામણવાળું આ જગત છે, પણ આ જગત ક્યાં સુધી ફસાવશે ? કે આપણે ચોપડામાં કંઈ ડખલ કરી હશે તો જ ફસાવશે. નહીં તો આપણા ચોપડામાં કોઈ ડખલ ના હોય તો કોઈ ફસાવે નહીં, કોઈ નામ ના દે. તને ખબર છે ? ઘણા ફેરા એવી પેપરમાં જાહેરાત આવે છે કે ભઈ, ફોર્ટમાંથી અમને એક ઘડિયાળ મળ્યું છે અને સોનાની ચેઈન મળી છે, આ જેનું હોય તે અમારી આ જાહેરાતનો ખર્ચ આપીને, પુરાવો આપીને લઈ જજો ! પુરાવો આપશો તો જ આપીશું. આવી જાહેરાતો આવે છે. એવી જાહેરાતો તેં કોઈ વખત જોયેલી ખરી કે ? પ્રશ્નકર્તા : હા, જોયેલીને. દાદાશ્રી : એ શું કહે છે કે ખોવાયું છે તોય પાછું મળે છે એને ? એવું આ જગત છે ! ખોવાયેલું પાછું મળે છે કે નથી મળતું ? એ કઈ સત્તાના આધારે મળતું હશે ? એટલે તારી વસ્તુ હોય તેને કોઈની તાકાત નથી કે એ લઈ શકે, અને જો તારી નથી તો તારી તાકાત નથી કે તું રાખી શકું. એટલે તને મામાએ ફસાવ્યા નથી. તેં મામાને ફસાવ્યા હતા. (પા.૨૫૩)તેથી મામાએ તને ફસાવ્યો. ‘ભોગવે તેની ભૂલ’ અત્યારે કોણ ભોગવે છે ? મામો ભોગવે છે કે તું ભોગવે છે ? તું જ ભોગવું છું માટે તારી ભૂલ ! મામો તો કુદરત એને પકડશે ત્યારે એની ભૂલ કહેવાશે. જગત તારા મામાની ભૂલ કાઢે અને તને ડાહ્યો કહે, પણ એમાં શું ફાયદો ? પણ દર અસલ શું છે કે કોણ ભોગવે છે ? ત્યારે તેની ભૂલ છે માટે કોઈની ભૂલ કાઢશો નહીં. જે ભોગવી રહ્યો છે તેની જ ભૂલ છે. ઘરમાં ચાર માણસો હોય, બેચાર નોકરો હોય ને બધાએ જાણ્યું હોય, ઘર ઉપર આજે બોંબ પડે એવું લાગે છે. તે ઘરમાં આઠ માણસો છે. બધાએ સાંભળ્યું છે કે બોમ્બ પડવાનો છે, પણ જે ઊંઘી ગયો છે એની ભૂલ નહીં, ને જે જાગે છે અને ચિંતા કરે છે તેની ભૂલ ! ભોગવે એની ભૂલ. બધેય બોંબ પડતા નથી. બોંબ કંઈ સસ્તા નથી કે ઘેર ઘેર પડે ! આપણે અહીં ખબર પડે કે કાલે પડવાનો છે, તે પહેલાં તો મુંબઈ ઘણીખરી ખાલી થઈ જાય !! ચકલાં ઊડી જાય એમ બધાં નાસી જાય ! ચકલાંય થોડીવાર તો માળામાં બેસી રહે ! પણ આ લોક તો નાસી જાય !! અને જ્ઞાની પુરુષને પેટમાં પાણી ના હાલે ! એ શું લઈ જશે ? નાશવંતને લઈ શકે. મને લઈ શકે નહીંને ! વિનાશી હોય તેને લઈ શકે, વિનાશી તો જવાનું જ છેને ! ત્યારે એ તો સટ્ટામાં જ મૂકેલું છેને ! આપણે સટ્ટો મારવા જઈએ. તો જોડે જોડે એવી કઈ શરત છે કે મારી રકમ ના જવી જોઈએ ? રકમ જવાની છે, એવું માનીને સટ્ટો કરીએ છીએને ?! તો આયે સટ્ટો જ છે, મનુષ્ય દેહ તો તદ્દન સટ્ટામાં જ મૂકેલો છે, પછી સટ્ટામાં આશા શું કરવા રાખીએ ? એટલે મામાએ મને ફસાવ્યો છે, એવું મનમાંથી કાઢી નાખજે ને વ્યવહારમાં કો’ક પૂછે ત્યારે એવું ના કહેવું કે મેં એમને ફસાવેલા તેથી એમણે મને ફસાવ્યો ! કારણ આ વિજ્ઞાનની લોકોને ખબર નથી, તેથી એમની ભાષામાં વાત કરવી જોઈએ કે મામાએ આવું કર્યું. પણ અંદરખાને જાણીએ કે એમાં મારી જ ભૂલ છે. આ ‘દાદા’ કહેતા હતા તે જ રાઈટ છે. અને આ વાતેય સાચી જ છેને, કારણ મામા અત્યારે ભોગવતા નથી, એ તો મોટર લાવીને અત્યારે મજા કરે છે. કુદરત એને પકડશે ત્યારે એનો ગુનો સાબિત થશે અને આજ તો તને કુદરતે પકડ્યોને !!! (પા.૨૫૪)નફો-ખોટ એક જ નિયમથીએટલે તમારે તે ઘડીએ આમ જાગૃતિ રાખવી પડે કે આપણો હિસાબ છે. હિસાબ વગર કોઈ ઘેર આવે નહીં, હિસાબ વગર આ દુનિયામાં કશું જ બને નહીં. હિસાબ વગર તો સાપ કરડે નહીં, વીંછી કરડે નહીં, કોઈ નામ ના દે ! હિસાબ વગર આ દુનિયામાં કશું બને એવું નથી, આ બધા હિસાબ જ ચૂકવાય છે. નવા હિસાબ ઊભા થાય છે અને જૂના હિસાબ ચૂકવાય છે. છતાં આવું બધું લોકોને ગમે છે પણ ખરું ! બાકી આ કાળ દહાડે દહાડે સારો આવતો જવાનો નથી. આ કાળનું નામ શું કહેવાય છે ! અવસર્પિણીકાળ એટલે ઊતરતો કાળ ! એટલે અઢાર હજાર વર્ષ પછી આ દુનિયામાં દેરું પણ નહીં હોય, પુસ્તક પણ નહીં હોય, શાસ્ત્રો પણ નહીં હોય ને કોઈ ભગત પણ નહીં હોય, ત્યાં હવે ચેતવું પડે કે નહીં ચેતવું પડે ? આ બધા બહુ સારા સારા કાળ ગયા છે, કેટલી ચોવીસીઓ વટાવી છે. ત્યાં સુધી આપણે ખસ્યા નહીં, તો પણ ચટણી ખાવા માટે બેસી રહ્યા છે !! શેના માટે બેસી રહ્યા છે ? આખો થાળ જમવાનો નથી, એક ચટણી માટે જ ! ઘેર તો કોઈ ભોગવતા જ નથી, આખો દહાડો બહાર જ ફરતો હોય. ઘેર તો દહાડે પંખા બધા ચાલ્યા કરે, પલંગ બધા ખાલી ને એ તો ક્યાંય તાપમાં ભટકતો હોય. કારણ કે એને કશુંક જોઈએ છે. એવું કશુંક ચટણી જોઈએ છે. તેના આધારે ભટકતો હોય. તેને બધું જોઈતું નથી. આ બધા વૈભવ ભોગવ્યા નથી અને કોઈ દહાડો વૈભવ ભોગવ્યો પણ નથી. પ્રશ્નકર્તા : પૈસા માટે રખડે છેને ? દાદાશ્રી : પૈસા માટે તો રખડવા જેવું છે જ નહીં. ખોટ ઘેર બેઠાં આવે છે, તો નફો પણ ઘેર બેઠાં જ આવે એવી વસ્તુ છે. જે સિસ્ટમથી ખોટ આવે છે એ સિસ્ટમથી જ નફો આવે છે. જો મહેનત કરીને ખોટ આવે તો મહેનત કરીને નફો આવે ! પણ એવું નથી. સંસારી સ્વાર્થઇન્કમટેક્સનો માણસ આવતો હોયને એને દેખીએ તો મહીં આનંદ (પા.૨૫૫)બહુ થાય ખરો ? રિફન્ડ હોય તો બહુ આનંદ થાયને ! અને દંડ હોય તો દંડમાં દુઃખ થાય. શાથી ? રિફન્ડમાં આનંદ થાય છે એટલે દંડમાં દુઃખ જ થાય, સ્વાભાવિક રીતે જ દુઃખ થાય. અરે ! ઇન્કમટેક્સના પૈસા ભરવાના હોયને, તોયે ઉપાધિ લાગ્યા કરે, અને એટલે સુધી કહેશે કે ઇન્કમટેક્સવાળા ના હોય તો સારું. આનું નામ જ અજંપો ને ઉપાધિ ! અને આમાં પૈસા ભરવાના આવ્યા એ ફરજ બજાવવાની નહીં ! ફરજ બજાવવામાં તો આપણે ઇન્કમટેક્સના કાયદા પ્રમાણે રહેવું જ પડેને ? આ તો ફરજ બજાવતા નથી એનું નામ સ્વાર્થ કહેવાય. આ સંસારી સ્વાર્થ કહેવાય. પ્રામાણિકતા એ ભગવાનની આજ્ઞાઆ તો ખોટું કરવાની કુટેવ પડી ગયેલી છે. તે લક્ષ્મી વધતી નથી, ઘટે છે. પહેલાં પાંચ-દશ વર્ષ કૂણું લાગે પણ પછી પાછળ તો નરી ખોટ જ આવે, અને જેનું બંધારણ પ્રામાણિકપણે છે તેનું તો ફરી તૂટેય નહીં. એય પણ કુદરત જ્યારે ફરેને ત્યારે તો એનેય તૂટી જવાનું એટલે આ બધું સાચુંયે નથી. પણ પ્રામાણિકપણું હોય તો એને જરા ભય ઓછો લાગે, ભય ના રહે એને ! પ્રશ્નકર્તા : હવે બિઝનેસમાં પ્રામાણિક ધંધો કરું છું, કોઈનેય છેતરતો નથી. દાદાશ્રી : એ બરોબર છે, એ ભગવાનની એક આજ્ઞા પાળી તમે કે કોઈનેય છેતરશો નહીં. પ્રામાણિકપણે, નિષ્ઠાથી કામ કરજો. એ એક ભગવાનની આજ્ઞા પાળી. સત્ય પ્રકાશે મોડુંકેટલાક લોકો ગુપ્તદાન આપે છે, તેમાં કોઈ એમ નથી કહેતું કે મારું આ દાન, એટલે આવું બધું ચાલ્યા કરે છે. અને આ સાચી વસ્તુ છે એ ઉઘાડી પડ્યા વગર રહેવાની નથી. જો જૂઠી ઉઘાડી પડે છે. અસત્ય વહેલું ઉઘાડું પડે છે અને સત્યને ઉઘાડું પડતાં ઘણો ટાઈમ લાગે કળિયુગમાં. જ્યારે સતયુગમાં સત્ય હોય તે તરત ઉઘાડું પડે. અને અસત્ય ઉઘાડું પડતાં (પા.૨૫૬)બહુ વાર લાગે. એટલે આ ઉઘાડું પડતાં ઘણો ટાઈમ લાગશે. અત્યારે મુંબઈ શહેરમાં ચોખ્ખું ઘી લઈને વેચવા નીકળે, લ્યો રે ચોખ્ખું ઘી, તો કેટલા લે ? એ કહો મને. ડૉક્ટર સાહેબ ? ઊલટું મશ્કરી કરે. એવું આ ચોખ્ખો માલ છે, ચોખ્ખું એ છે પણ એક દહાડો આ એનું કામ કરી રહેશે. નીતિ : વ્યવહારનો સારવ્યવહારનો સાર હોય તો નીતિ. એ નીતિ હોય તો પછી તમને પૈસા ઓછા હશે તોય પણ અંદર શાંતિ રહેશે અને નીતિ નહીં હોય ને પૈસા ખૂબ હોય તોયે અશાંતિ રહેશે, એ જોવાનું. પૈસા તો કરોડો રૂપિયા હોય પણ મહીં જાણે જલતી ભઠ્ઠી જ જોઈ લોને ! અકળામણ-અકળામણ ! પાર વગરની અકળામણ ! તમે કોઈ દહાડો અકળામણ જોયેલી ખરી ? પ્રશ્નકર્તા : બહુ જોયેલી. દાદાશ્રી : બહુ જોયેલી ? ભારે ! તે અત્યારે હવે સમાધિય એવી રહે છેને ! પ્રશ્નકર્તા : હા, પણ વ્યવહારમાં નીતિ રાખવી એ એના પોતાના હાથમાં ખરું ? દાદાશ્રી : એ નથી પોતાના હાથમાં. પ્રશ્નકર્તા : તો ‘વ્યવસ્થિત’ને આધીન છેને એ તો ? દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ને આધીન ખરું પણ આ તો જ્ઞાન હોવું જોઈએને કે આ સાચું જ્ઞાન કે આ સાચું જ્ઞાન ? ત્યારે કહે, વ્યવહારમાં નીતિ રાખવી જોઈએ એ સાચું જ્ઞાન છે. પછી આપણે જોવું કે આપણામાં નીતિ કેટલી રહે છે એ તપાસી જોવું. એવું કંઈ કહ્યા પ્રમાણે થઈ જતું નથી. થાય ખરું એવું ? પણ આ સાંભળ્યું, ત્યારથી આપણે નક્કી કરવું જોઈએ કે આ નીતિવાળું જ્ઞાન સાચું છે. અનીતિનું જ્ઞાન આપણે સાચું ઠરાવ્યું હતું, તેની પર શ્રદ્ધા બેઠેલી, તેનું આ ફળ આવ્યું છે. પણ હવે નીતિની શ્રદ્ધા બેસે ત્યારે એનું ફળ પછી આવશે. આ જ્ઞાન લીધું એટલે હવે તો આપણે શ્રદ્ધા જોઈતી જ નથીને ? (પા.૨૫૭)આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો. આ સંસાર તો કોઈ દહાડોય સુખિયો જ ના થવા દે ! આત્મસ્વરૂપીનો વ્યવહાર નિકાલીપ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી આ કાળમાં વ્યવહાર વેપાર પ્રામાણિકપણે કેવી રીતે કરવો ? દાદાશ્રી : એવું હું પ્રામાણિકપણે કરવાનું નથી કહેતો. એવું છેને, જો જ્ઞાન હોય તો તમે ચંદુભાઈ નથી, તમે શુદ્ધાત્મા છો. જો તમે ચંદુભાઈ હોત તો તમારે પ્રામાણિક થવાની જરૂર હતી. હવે તો તમે શુદ્ધાત્મા છો, એટલે જે પડેલા ખેલ છે, સંયોગો તેનો ઉકેલ લાવી નાખોને અહીંથી ! આ ચોરી છે ને આ ના ચોરી છે, એવો ભગવાનને ત્યાં દ્વન્દ્વ છે જ નહીં. ભગવાનને ઘેર સારું-ખોટું છે નહીં, આ બધું સામાજિક છે ને મનુષ્યનો બુદ્ધિનો આશય છે, બાકી ભગવાનને ઘેર આવું કશું છે નહીં. પ્રશ્નકર્તા : નીતિનિયમ, સાચું-ખોટું એ બધા નિયમો એ કેમ પળાય પછી ? એની જરૂર શું છે પછી ? દાદાશ્રી : ના, જો તમારે પાળવા હોય તો પછી ચંદુભાઈ થઈ જાવ. હું ફરી ચંદુભાઈ કરી આપું. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માને પછી આ ગુણોની જરૂર જ નથી ! દાદાશ્રી : ના, એવું છેને, તમે જે આ કર્મો ગૂંથી લાવ્યા છો એ મને પૂછ્યા સિવાય બધા ગૂંથી લાવ્યા છો. ગયા અવતારે કંઈ મને પૂછવા આવ્યા નથી. માર્કેટ મટીરિયલમાં જે ભેગું થયું તેને ખરીદ-ખરીદ કર્યું, અને જેટલી બેન્કોએ ઓવરડ્રાફ્ટ આપ્યા, તે લે લે કર્યા છે. એટલે મેં કહ્યું કે, આ ઓવરડ્રાફ્ટ લઈને નાદાર જેવી સ્થિતિ થઈ ગયેલી છે. માટે હવે તમે શુદ્ધાત્મા થઈ જાવ. અને આ બીજું બધું છે તે નિકાલ કરી નાખવાનો. આ દુકાન ધીમે ધીમે કાઢી નાખવાની. તે ખાંડ હોય તો ખાંડેય વેચી ખાવ અને ગોળ હોય તો ગોળેય વેચી ખાવ. મરિયાં હોય તો મરિયાં વેચી ખાવ અને કોઈની જોડે લઢશો નહીં. કોઈ પૈસા ના આપે તોય એની જોડે લઢશો નહીં અને કોઈ પૈસા માંગતો હોય તો તેને વહેલામાં વહેલી તકે આપી (પા.૨૫૮)દેજો અને તે તમારી સગવડ ના હોય તો ‘બાપજી, જય બાપજી’ કરીને એને દુઃખ ના થાય, એવી રીતે સમભાવે નિકાલ કરીને છૂટા થઈ જાવ. સવળી સમજણેજ્યારે લક્ષ્મીનું નૂર જાયને ત્યારે બધું નૂર જાય. આત્માનું નૂર હોય તે તો રહે પણ તે આ લોકોને આત્માનું નૂર હોય ક્યાંથી ? એ તો જ્ઞાની પુરુષને, અગર તો જ્ઞાની પુરુષના ફોલોઅર્સને આત્માનું નૂર હોય ! પ્રશ્નકર્તા : દેવાં જે બધાં પાર વગરનાં છે તે ધર્મ વિશેનાં છે કે લક્ષ્મી વિશેનાં છે ? દાદાશ્રી : લક્ષ્મી વિશેનાં નહીં, વિરાધનાનાં છે. આખો દહાડો પોતાની સમજણે, બસ સ્વચ્છંદથી જ બધું કર્યા કરે. લક્ષ્મી વિશેનાં નહીં. અને એ તો લક્ષ્મીમાં કોઈ ધીરનાર મળે, ત્યારે દેવું થાય. જે ધીરનાર મળે ત્યાં આગળ ચલાવ્યું અને વિરાધનામાં તો કોઈ સાંભળનાર મળવો જોઈએ કે બસ ચલાવ્યું. સાચું-ખોટું રામ જાણે. પણ કોઈ સાંભળનાર મળવો જોઈએ. એટલે એવું, કળિયુગમાં બધાં ગાંડપણ લઈને આવ્યા હોય. ઘેર જાય તો ઘેર ભાંજગડો થતી હોય, ઑફિસમાં જાય તો ત્યાંયે ભાંજગડો થતી હોય. પછી શું કરે ? એટલે પછી રસ્તામાં કોઈ ખોળે કે કોઈ મારી વાત સાંભળે છે ? ને કોઈ મળે કે પછી પોતાની વાત ઠોકાઠોક કરે. આ તો બરકત નહીં, ભલીવાર નહીં તેવા લોક ! બાકી ભલીવાર હોય તેને ઘેર ભાંજગડ આવે જ નહીં. બહાર જાય, ઑફિસમાં જાય તોય ભાંજગડ ના આવે. કોઈ જગ્યાએ ભાંજગડ જ કેમ થાય તે ? પ્રશ્નકર્તા : એ વાત કરવા આવે તો સાંભળવું જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો આપણા ‘જ્ઞાન’ને લીધે તમે સમજી જાવ. નહીં તો શી રીતે સમજી લેવાય ? ‘જ્ઞાન’ ના હોય તો માણસ શી રીતે રહે ? ઊલટું અવળું ચાલે. પ્રતિભાવવાળું મન થઈ જાય. કોઈકે નાલાયક કહ્યા કે પેલા નાલાયક કહેનાર પર પ્રકૃતિભાવ તો એટલા બધા કરી નાખે કે જેનો હિસાબ જ નહીં અને મહીં તો ખોટ જ નથી ભાવની ! (પા.૨૫૯)પ્રશ્નકર્તા : દાદા, પણ આપણે નક્કી કરીએ કે સાંભળવું નહીં, પછી એક દિવસ સાંભળીએ નહીં, બે દિવસ સાંભળીએ નહીં પછી એ આવે જ નહીં સંભળાવવા. દાદાશ્રી : ના, પછી ના આવે. આપણે જાણીએ કે આ તો લપલપ કરવાની ટેવ પડી છે આને ! પહેલુ ંબે દહાડા સાંભળીએ પણ પછી એ આવવાનો બંધ થઈ જાય. પછી એ બીજા ખોળી કાઢે. આ તો જ્યાં જાય ત્યાં બળ્યું દુઃખ, દુઃખ ને દુઃખ. ‘ઘરનાં બળ્યાં વનમાં જાય, વનમાં લાગી આગ.’ એટલે મહામુશ્કેલીમાં સપડાયા છે. અહંકારેય મેડ પાછો. અહંકાર જો ડાહ્યો હોય, વાઈઝ હોય તો વાત જુદી છે. પણ અહંકારેય મેડ ! લાવ્યા ઓવરડ્રાફ્ટ પાર વગરનાપુણિયા શ્રાવકની સામાયિક, જેની કિંમત છે તે આખા શ્રેણિક રાજાનું રાજ્ય ત્રણ ટકા દલાલીમાં જતું રહે. એટલી બધી કિંમત. તો એવો લાભ થતો હોય તો તો બહુ સારુંને ? આ લોકો તો બેન્કમાં ઓવરડ્રાફ્ટ એટલા બધા લાવ્યા છે, આટલું બધું મૂડી ભર ભર કરે છે, તોયે વધતું નથી. ઓવરડ્રાફ્ટ બધા ! દુષમકાળની શરૂઆત એટલે ઓવરડ્રાફ્ટ લીધા વગર રહે નહીં અને બેન્કો આપ્યા વગર રહે નહીં. બેન્કોયે આપે. ચાલો ગાડી લાવો, ચાલીસ હજાર રૂપિયાની દરેકની ટેક્સી ઉપર લખેલું હોય, બેન્ક ઓફ ઇન્ડિયા... આ તો બેન્કના રૂપિયા છે એવું જેને ભાન રહેતું હોય તે ઉપયોગ રાખે. આ તો બેન્કના રૂપિયા આવ્યા કે લઈ આવો કેરીઓ કહેશે અને દોઢસો રૂપિયાની કેરીઓ અને ત્રણસો રૂપિયાનું ઘી લઈ આવે. દુકાન કાઢી નાખવાની રીતદુકાન કાઢી નાખવાનું નક્કી કરે ત્યારથી હવે શું ખરીદી કરવાની છે, એ બધું જાણતા હોય પોતે. હવે શું કરવાનું છે એય જાણતા હોય. ના જાણતા હોય કે ભઈ હવે ઉઘરાણી પતાવી દો. જેટલી પતે એવી હોય (પા.૨૬૦)એ પતાવી દો, ના પતે એવી હોય તો આપણે ઝઘડા-બઘડા કરવા નથી. લોકોની અહીં થાપણો હોય તે આપી દો. થાપણ એટલે લોકોની આપણે ચોપડે જે રકમ જમે હોય તે બધાને આપી દેવાની અને ના આપીએ તો રાત્રે બે વાગે પેલા બૂમો પાડે. જ્યારે ઉઘરાણી તો પેલો આપણને આપે કે નાય આપે. એ તો એના હાથની વાત છે. કોઈ ઉઘરાણી ના આપે ત્યારે કોર્ટમાં દોડો, વકીલો કરો ને બધાં તોફાનમાં ક્યાં પડીએ ? આપણે દુકાન કાઢી નાખવાની છે, તે હવે ખરીદી બધી જ બંધ કરી દેવી પડેને ? ને પછી વેચ-વેચ કર્યા કરવાનું છતાં માલ ના વેચાય તો તપાસ કરવી પડે કે ભઈ હમણે ઘરાકી કેમ નથી આવતી. તો પછી ખબર પડે કે ખાંડ નથી, ગોળ નથી. એટલે લોકો આવતા નથી. ગોળ ને ખાંડ જોડે ના જોઈએ ? એ ના હોય તો આપણે એ વેચાતાં મંગાવવાં પડે. કારણ ખાંડ થઈ રહી હોય, ગોળ થઈ રહ્યો તો લોકો પછી કહેશે. ત્યાં ખાંડ-બાંડ કશું મળતું નથી, હવે બીજી દુકાને હેંડો. લોકો બીજો બધો સામાન જ્યાં ખાંડ મળે ત્યાંથી લે, એટલે આપણે એટલા ખાંડના કોથળા મંગાવવા પડે. પણ દુકાન કાઢી નાખવાની છે. એ એને લક્ષમાં જ હોય કે રાતે ભૂલી જાય ? જ્યારથી નક્કી કર્યું ત્યારથી દુકાન કાઢવા જ માંડે ! રસ્તામાં કોઈ માલ વેચવાવાળો મળી જાય કે અરે ! તમને પંદર ટકા કમિશન આપીશ. આ માલ ખરીદી લો. ત્યારે કહેશે, કે ના ભઈ, મારે માલ નથી જોઈતો. હવે દુકાન કાઢવાનું નક્કી કર્યું છે એવું નક્કી કર્યા પછી દુકાન ફરી ના જમાવે ને ? એવું આપણે આ દુકાન કાઢી નાખવાની છે. હવે બધા હિસાબના ઉકેલ લાવી નાખવાના છે. અટાવી-પટાવીનેય ઉકેલ લાવી નાખવાના છે. પછી ઉઘરાણીવાળા આવે. થાપણવાળાયે આવે. એટલે આપણે કહેવું કે બીજા જે હોય, જેનું બાકી હોય તે બધા લઈ જાઓ જલદી. અમારે હવે આપી દેવું છે. એટલે પછી આપણે ત્યાં ભીડ તો થાય. ભીડ થાય, ગૂંગળામણેય થાય. પણ આપણે આપી દીધા એટલે પછી છૂટા થઈ ગયા. ગૂંગળામણ તો થાય, ભલે ને થાય પણ એક ફેરો આપી દીધા એટલે પછી ઉકેલ આવી ગયોને ! આમ ટપલે ટપલે માથું કાણું થાય, તેના કરતાં માર એક હથોડો, તે ઉકેલ આવી ગયો. એક જ હથોડે ઉકેલ આવી (પા.૨૬૧)જાયને ? અને ટપલે ટપલે મારે તે માથું રુઝાય નહીં અને લાય બળ્યા કરે એના કરતાં એક હથોડો મારી દે તો ઉકેલ આવી જાય. ને સોનું તો એટલું ને એટલું જ રહેને ? કે સોનું ઓછું થાય ? ઘાટ-ઘડામણ એકલી જાય. એટલે હવે ગૂંગળામણ થાય તો વાંધો નહીં રાખવો. આવે તો સારું, ઉકેલ આવી જાય. બે-પાંચ આવે તો કહીએ હજુ બીજા હોય તો આવી જાવ. હવે બધાંને પેમેન્ટ કરી દઈશું. કારણ હવે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે બધું પેમેન્ટ થઈ શકે. કો’ક ગાળો આપીને જાયને તોય હવે આપણે જમે થઈ શકે. પહેલાં તો જમે ના થાય. જમે કરવી પડે. ને પાછી સામે ઉધારેય કરવા પડે. જમે તો નાછૂટકે કરવી પડેને, પેલો આપી ગયો. એટલે જમે જ કરવી પડેને ! પણ પાછી સામે પાંચ-સાત ઉધાર કરી દે અને આપણે જમે કરી દઈએ પણ પછી ઉધારીએ નહીં, કારણ વેપાર બંધ કરવાનો થયો. બે ગાળો આપી જાય તો ચંદુભાઈને આપવાનો છેને ! ‘તમને’ ક્યાં ઓળખે છે એ ? ‘તમને’ કંઈ એ ઓળખે છે ? પ્રશ્નકર્તા : આપે જે કીધું એવું જ થાય છે, હવે જે જે મને સામા જવાબ આપે છે એ શાંતિથી લઈ લઉં છું. હવે પ્રતિજવાબ આપતો નથી. પ્રતિકાર કરતો નથી. એવું થાય છે હમણાં. દાદાશ્રી : એટલે એનો અર્થ એ થયો કે એ આપે છે ને આપણે જમે કરી દઈએ છીએ. ફરી ધીરતા નથી હવે. જો ફરી જોઈતું હોય તો ફરી ધીરજો, ધીરાણ કરશો અને ફરી જોઈતું ના હોય, ના ગમતું હોય તો વેપાર જ બંધ કરી દો. ‘ચંદુભાઈ’ જોડે પાડોશી જેટલો સંબંધ રાખવાનો. પાડોશીને બહુ કોઈ પજવતું હોય, હેરાન કરતું હોય, તો પાડોશીને આપણે અરીસામાં જોઈને કહેવાનું કે, ‘હે ચંદુ હું છુંને જોડે !’ છતાં હાથ ચીકણો નહીંદાદાશ્રી : રૂપિયા હાથમાં અડવા દેવા ખરા પણ હાથ ચીકણો ના થવા દેવો. હાથ ચીકણો ના થવો જોઈએ. પ્રશ્નકર્તા : એટલે શું જરા સમજાવોને, દાદા. દાદાશ્રી : આ પૈસા છે એની જોડે અભાવ તો હોય નહીં લોકોને (પા.૨૬૨)પણ હવે પૈસા ઉપર ભાવ ના બેસી જવો જોઈએ. અભાવ તો હોય નહીંને ! કોઈ એવા માણસ ના હોય ! અમને એના પર ભાવ-અભાવ બેઉ ના હોય અને તમારો ભાવ બેસી જાય. પૈસો એટલે ભાવ બેસી જાય. કારણ કે અભાવ છે નહીં એટલે પેલી બાજુ બેસી જાયને, તેય તમારે હવે ડિસ્ચાર્જમાં, ચાર્જમાં નહીં. કેટલાક માણસ તો કહે કે તમે તમારા હાથે જ મારા પૈસા દાન પેટે સ્વીકારો તો મને આનંદ થશે તે હું લઈ લઉં ‘લાવ, બા લાવ.’ હું કંઈ ચીકણો થવા દઉં ત્યારે ને ! ચીકણો થાય તો આ ભાંજગડને ! સંગ્રહની સમજપ્રશ્નકર્તા : દાદાએ આ ધનની બાબતમાં કહ્યું એવું જ ધંધાની બાબતમાંને ? દાદાશ્રી : ધંધાની બાબતમાં એવું જ રાખવાનું, ધંધામાં સિન્સિયર રહેવાનું, પણ ચીકાશ નહીં, થશે હવે, હવે તો ‘વ્યવસ્થિત’. મોડું થશે તો કશો વાંધો નહીં.’ એવું ના હોવું જોઈએ. ‘વ્યવસ્થિત’ છે, મોડું થશે, શું વાંધો છે ? આ શબ્દો ના હોવા જોઈએ. ત્યાંય સિન્સિયારીટી જોઈએ. પ્રશ્નકર્તા : ધનનો સંગ્રહ કરે એ ચીકાશમાં ગણાય કે નહીં ? દાદાશ્રી : ના, સંગ્રહ કરવામાં વાંધો નથી. સંગ્રહ તો કરવો જોઈએ. ફેંકી દેવું એનું નામ ચીકણું થયું કહેવાય. સારા ઉપયોગ સિવાય ફેંકી દેવું એ બગડે. સંગ્રહ કરેલું ના બગડે, સંગ્રહ તો કામ લાગશે. તમને હેલ્પ કરશે. પણ ચીકણું ના હોવું જોઈએ, એના પર ! અને સંગ્રહ કરેલું યાદ ના રહેવું જોઈએ. ભલેને વીસ લાખ હોય. ચીકણું ના કરો બસ. મને તો ઘી અડે તોય ચીકાશ નહીં. જે રેડો તે ચીકાશ નહીં. ઘણાંની જીભ એવી હોય છે કે તેના પર ઘી મૂકો તોય જીભ ચીકણી ના થાય અને ઘણાંને તો દૂધ પીએ તોય જીભ ચીકણી થઈ જાય. જીભમાં એવી કેપેસિટી હોય છે કે ગમે તેવી ચીકાશને ઉડાવી મૂકે છે. એવું આમાંય કંઈક કેપેસિટી હોય છે. અને તે તમને ઉત્પન્ન થશે હવે ! (પા.૨૬૩)ધંધામાં એક્સપર્ટ છતાં...અને ધંધા પર તો પહેલેથી ધ્યાન જ નથી આપ્યું. જગત શું છે ? કેવી રીતે ચાલે છે બસ એ જ વિચાર ! આખો દહાડો એના જ વિચારમાં જીવન ગયેલું ! ધંધામાં આમ તો જરાક હું એક્સપર્ટ. મારા ભાગીદાર શું કહે કે, ત્રણ મહિનામાં એકાદ ગૂંચ પડી હોય તો મને એ ગૂંચ કાઢી આપજો. એટલે બહુ થઈ ગયું તે એ મને ગૂંચ પડી હોય ત્યારે મને કહે, તો હું કહું કે આમ કરજો, એટલે એ ગૂંચ બધી નીકળી જાય, ત્યારે એ મને કહે તમે હવે આ ધર્મ કર્યા કરજો. જંક્શનની જાળવણીદાદાશ્રી : તમારે ધંધા પર જવાનું મોડું થઈ જશે. આ વાતોનો કંઈ પાર આવવાનો નથી. કામ પહેલું કરવું. પ્રશ્નકર્તા : પહેલાંનો મેં વધુ મહેનતવાળો ધંધો માથે લીધો છે તેનો નિકાલ કરવો પડેને ! દાદાશ્રી : ધંધામાં ધ્યાન આપવું એ આપણો હેતુ હોવો જોઈએ અને જંક્શન ઉપર આપણી ગાડીના આધારે બીજી ગાડીઓ લેટ ના થાય એ જોવું જોઈએ. જંક્શનની આપણી જવાબદારી છે ! પ્રશ્નકર્તા : બીજાને અગવડ ના પડે એ જોવું પડે. દાદાશ્રી : ના, જવાબદારી એક જ જંક્શનની. આપણે કહ્યું હોય કે ભઈ, તમે ત્યાં આવજો ને હું પણ સાડા આઠ વાગે ત્યાં આવીશ. ત્યાં બધી ગાડીઓ ભેગી થવાની હોય ત્યાં આપણે લેટ થઈએ કે ના જઈએ એ જવાબદારી આપણા પર આવે. બાકી બીજું કંઈ નહીં, જંક્શન ના હોય તો બીજા સ્ટેશને તમે મોડા જાવ તો તેનો વાંધો નહીં. જંક્શન એકલું જ સાચવજો. હું તો પહેલેથી જંક્શન સાચવી લઉં. હું આળસુ સ્વભાવનો તો ખરો જ પણ જંક્શન હોય ત્યાં નહીં. બીજી ગાડીઓ લેટ થાય મારે લીધે ? બધાય ફજેત કરે પછી ! દરેક ગાડીવાળા કહે કે આ ગાડી વડોદરાથી ના આવી, તેથી આ બધાનું બગડી ગયું ! આપણે આપણા પોતાના માટે ફજેત થઈશું, તેનો વાંધો નહીં. પણ જંક્શનનું ના જાળવવું પડે ? (પા.૨૬૪)અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે. એટલે તમારે વાંધો નહીં, ત્યાં ધંધા ઉપર જવું. અરે ! તમને મોડું થઈ જશે, આ દાદાની જોડે બેસવું ને એવી લાલચ પેસી જાય છે તે ઊઠવાનું મન ના થાય. અને બીજી ગાડીઓ ઊપડી જાય. નક્કી કરીને આવ્યો હોય. ચાર કોમ્પ્રેશર લેનાર માણસ હોય, તેને કહેશે કે આટલા વાગે ઑફિસે આવજે ત્યાં હું આવીશ. તે તમે મોડા જાવ તો પેલો ઊઠીને જતો રહે બિચારો. માટે તમે તમારા ધંધે જાવ. આ તો બધી વાતો છે. પ્રશ્નકર્તા : આ વાતો કરવાથી અમારા લાભનું થાય. દાદાશ્રી : એટલે તમારે ત્યાં ધંધા પર જવું. હું દરેક કાર્ય કરું છું. અરે ! સવારના સાડા છથી શરૂ કરું છું, હું આળસ નથી કરતો. કારણ કે હું કહું કે મારી તબિયત નરમ છે એટલે કેટલી બધી ગાડીઓને પાછું જવું પડે ? બધી ગાડીઓ જતાં જતાં શું કહે ? દાદા હવે ઘૈડિયા થઈ ગયા તે હવે બળ્યું આપણે અહીં આગળ બહુ આવીએ નહીં તો ચાલે ! એવું કહેશે એ એમનું હિત બગાડે. કિંમત જ્ઞાનીનાં દર્શનનીદુકાન પર ના જઈએ તો દુકાન રાજી ના થાય. દુકાન રાજી થાય તો કમાણી થાય. એવું અહીં સત્સંગમાં. પાંચ મિનિટ વધારે ના હોય તો પાંચ-દશ મિનિટ પણ આપીને દર્શન કરી જાવ. જો અહીં અમે છીએ તો ! હાજરી તો આપવી જ રહીને ! દાદાઈ બ્લેન્ક ચેકઆ ‘દાદા’ એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય (પા.૨૬૫)એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે, માટે આપણે એમને એમ વાપરવા નહીં. એક વણિક શેઠ હતા, મિત્ર જેવા. આમ હતા તો શ્રીમંત માણસ, પણ ્મારી જોડે બેસે-ઊઠે, એક ફેરો ઇન્કમટેક્સનો કાગળ આવ્યો હતો. એક વખત મેં એમને કહ્યું કે કંઈ અડચણ આવે તો ગભરાશો નહીં, અમને કહેજો. હવે તે દહાડે તો જ્ઞાન થયેલું નહીં. એટલે સંસારની મરામત કરવી હોય તો અમે કરી આપતા હતા. તે પેલો ઇન્કમટેક્સનો કાગળ આવેલો ત્યારે મેં પેલા શેઠને કહ્યું કે, એવું કંઈક કહેવું હોય તો કહેજો. ત્યારે કહે છે, કે તમે જે કોરો ચેક આપ્યો છે તે સોએ સો પૂરા થશે ત્યારે વટાવીશ, છેલ્લો શ્વાસ હશેને તે ઘડીએ વટાવીશ, નહીં તો આમ તમારો ચેક ના વટાવાય, એ તો મેં રાખી જ મેલ્યો છે ! એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં, ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સિગારેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો. દાદા વિનાની ક્ષણ કેવી ?આ જોડે લઈ જવાનું એટલું જ આપણું, બાકી બીજું બધું પારકું. પ્રશ્નકર્તા : ખરી કમાણી જ ‘દાદા’ આ છે, બીજી કોઈ કમાણી સાચી દેખાતી નથી. દાદાશ્રી : હોતી હશે, બીજી કમાણી ? પ્રશ્નકર્તા : એ દાદા સિવાય ચેન જ નથી પડતું. દાદાશ્રી : દાદા વગર ક્ષણવાર કેવી રીતે રહી શકાય ? એ તો વળી એટલું સારું છે કે આપણામાં ‘જ્ઞાની પુરુષ’ નિશ્ચયથી આપણી પાસે જ છે. વ્યવહારથી તો એવો ઉદય નિરંતર હોય નહીંને !! બાકી પહેલાંના કાળમાં ‘જ્ઞાની’ પાસે પડી રહેતા હતા, અત્યારે પડી રહેવાય એવું છે જ ક્યાં ? અત્યારે તો ફાઈલો કેટલી બધી !! (પા.૨૬૬)મમતા વિનાના પુરુષઅને રૂપિયા જોડે તો લોકને મમતા થઈ ગયેલી છે. બાકી કહેતાની સાથે જ ખાલી કરે. જેટલા આનંદથી રૂપિયા આપ્યા હતા, એટલા જ આનંદથી રૂપિયા ખાલી કરે. ત્યારે જાણવું કે આમને રૂપિયાની મમતા ચોંટતી નથી. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આ ચાર પ્રકારે જેને મમતા ના હોય, એવા જ્ઞાની પુરુષ એને મોક્ષે લઈ જાય. નહીં તો આ બધાં લોક તો દ્રવ્યથી બંધાયેલા, ક્ષેત્રથી બંધાયેલા, કાળથી બંધાયેલા, ભાવથી બંધાયેલા એ શું ધોળે આપણું ? સારી જગ્યા હોય તો આપણને કહેશે કે થોડા દહાડા રહેવા દોને ! કહે કે ના કહે ? અમને એવું બંધન ના હોય. મમતા-રહિતતાતમને સમજાયું કે શું કહેવા માગું છું ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : મમતા ખલાસ થઈ ગઈ હોય એવો માણસ હોય ? પ્રશ્નકર્તા : ના હોય. ક્યાંથી હોય ? દાદાશ્રી : હોય તો એ ભગવાન કહેવાય. માણસને મમતા શી રીતે જાય ? સગાં-વહાલાં હોયને ! એ તો બૈરી, મા-બાપની હઉ મમતા છોડી દેવા તૈયાર છે. મમતા સમજાય છે તમને ? તમારે થોડી-ઘણી મમતા ખરી ? પ્રશ્નકર્તા : પણ દાદા, મારી પાસે કઈ મમતા રહી છે બોલો ? કુટુંબકબીલા, બધાય સંબંધ કોઈ છે જ નહીં. દાદાશ્રી : આ શું બોલે છે બધું ? ‘મારે મમતા નથી’ એ શું કહ્યું ? મમતા ગઈ ક્યારે કહેવાય ? મા-બાપ ને ભાઈઓ ને બધાંની જોડે વીતરાગતા હોય અને મમતા જાય નહીં ને માણસને ! ઘરમાં રહેનારો (પા.૨૬૭)માણસ, એ તો ત્યાં (મંદિરમાં) પડી રહેતો હોય તેની મમતા જાય. નહીં તો મમતા છૂટતી હશે ? પ્રશ્નકર્તા : મને કંઈ સમજાયું નહીં, દાદા. દાદાશ્રી : બળ્યું, મમતા ગઈ એવું બોલાય નહીં કોઈથી. કોઈ એવો થયો તો તે ભગવાન થઈ ગયો કહેવાય. અક્ષરેય બોલાય નહીં, ‘મારી મમતા જતી રહી’ એ જ્ઞાની પુરુષ સિવાય કોઈ બોલી ના શકે. પ્રશ્નકર્તા : મમતા જતી રહી એ જરાક સમજાવો. મમતા કેવી રીતે જતી રહી ? આપણે કોને કહી શકીએ મમતા ? દાદાશ્રી : સર્વસ્વ અર્પણ કરવું એનું નામ મમતા જાય. આ ભઈ છે, તે હજાર ગીનીઓ અહીં આપી દે, પણ એક રહેવા દે, કો’ક દહાડો કામ લાગે, એનું નામ મમતા. આમને એવી મમતા ના હોય, એ બ્રાહ્મણ કહેવાય. અમારે ક્ષત્રિયોને મમતા ના હોય. જેથી તો તીર્થંકર થવાય. આ બધા ક્ષત્રિયો કહેવાય. આ તો વણિક એક ગીની રહેવા દે. બોલ, મારી વાત ખોટી છે કે ખરી છે ! પ્રશ્નકર્તા : ખરું. દાદાશ્રી : એમની હિંમત ના ચાલે, એ મમતા છે. આ મમતા છૂટવી જોઈએ. પેલા નાગરદાદાએ (એક સંતપુરુષે) કોસમાડામાં કહ્યું હતું કે, આવા મમતારહિત પુરુષ મેં જોયા જ નથી. મને નાનપણમાંય મમતા ન હતી. અહંકાર હતો. નાનપણથી જ કોઈ વસ્તુની મમતા નહીં. મમતાનો અર્થ સમજ્યા તમે ? મમતા શી છે તેય ખબર પડતી નથી. પછી તો લોક જ કહેશે કે, આ ભાઈને કશી મમતા રહી નથી. જગત તો આનું આ જ છે. જેવું મોઢું હોય એવું અરીસો દેખાડે. આમાં અરીસાનો કોઈ દોષ છે ? શું કહો છો ? જગતના હિસાબે તમને ઘણી મમતા ગઈ છે. આ સાધુઓ કરતાં વધારે મમતા ગઈ છે. કશું રહ્યું જ નથી. પણ મૂળ મમતા, હજુ ગીની રહીને, રાખી મેલી છેને ? મમતાનું બીજ જાય નહીં એટલે ત્યાં સુધી ફરી ફૂટી નીકળશે, ક્યારે ફરી નીકળે એ કંઈ કહેવાય નહીં. પ્રશ્નકર્તા : પોતાનો જીવનવ્યવહાર ટકાવવા માટે તો કંઈ કરવું (પા.૨૬૮)પડેને ? દાદાશ્રી : હા, એ જ મમતા, એ જ મમતા. જ્યાં પોતાનું છે ત્યાં જ મમતા ! અમારે એ હોય જ નહીંને ! ટકોર જ્ઞાનીનીમમતારહિત થવું અત્યારે એ બની શકે નહીં ! આપણે હવે કરીને શું કામ છે. આપણે મોક્ષે જવું છેને ? આવતા ભવમાં એવું થશે, મમતા વગરનું થવાનું. આ તો હજી મમતા જાય નહીં. સિક્કો મારેલો છે. આપણે એવું થઈને શું કામ છે ? આવતે ભવ મમતા જતી રહેશે. મમતા જાય નહીં. સહેલી વસ્તુ નથી. અત્યારે તો અમે બોલ્યા તેથી થોડી-ઘણી ગઈ હોય તોય અમારા જ્ઞાનથી ગઈ. બાકી જાય નહીં. એ તો મમતા જાય, પૈસાની મમતા જાય તો તેને અહંકારની મમતા વધે પણ બધું એકનું એક જ ને ? બધું ધૂળધાણી ત્યાં આગળ ? કોઈ મમતા ઘટેલી જ નહીં કોઈ દહાડો. અત્યાર સુધી ઘટેલી નહીં. આ તો મહીં જ્ઞાન આપ્યું પછી ઘટી. આ જ્ઞાન આપ્યું ત્યારે તો મમતાઓ થોડીક ઘટી. અમારી મમતા તો ગયા અવતારથી નથી, કેટલાય અવાતરથી નથી. આ તો બધું એની મેળે ચાલ્યા કરે છે. ઉદયના આધીન. મારે કશું કરવું નથી પડતું. અમારે કશું આમાં કરવું ના પડે. કોઈ દહાડો ઇચ્છાય નહીં. વિચાર સરખોય નહીં અને તે પેલું એય નહીં. પોતાપણું નહીં, વર્લ્ડમાં પોતાપણું ના જાય. એવા માણસ હોય નહીં, પોતાપણું ગયું એ ભગવાન કહેવાય. આતો લોકોને વિરાધના થાય એટલા માટે નથી કહેતા. ના પાડી છે કે ભગવાન છીએ એમ બોલશો નહીં. મહીં છે એને ભગવાન કહો નહીં તો લોક વિરાધના કરે અને નકામા પાપ બાંધે એ અમને ભગવાન થવાનો કંઈ સ્વાદ આવતો નથી. અમે જે જગ્યા પર છીએ ત્યાં ઘણો સ્વાદ છે. એક તો ગીની રહેવા દઉંને ? (પા.૨૬૯)મેં ચોખ્ખા કરવા માટે પ્રયત્ન કર્યો હતો જ ને ? પણ એ કહ્યા પ્રમાણે થયું નહીં અને થોડુંઘણું થયું મારા ભઈ, પણ એ મહીં તળિયું તો એનું એ જ રહ્યુંને ! જ્ઞાન સમજાવે સાનમાંતમારે શું જોઈએ ? જેની પાસે ના હોયને, એનું જગત માથે લઈ લે ! કહેવા જવું પડે નહીં. એની મેળે માથે લઈ લે. દુનિયાનો સ્વભાવ બહુ જુદી જાતનો છે. મારાથી ચલાતું નથી, કેટલાં વર્ષથી ? પ્રશ્નકર્તા : આઠ વર્ષથી. દાદાશ્રી : છતાં તમારા કરતાં હું વધારે ફરતો હોઈશ ? પ્રશ્નકર્તા : ઘણું. દાદાશ્રી : શાના આધારે ? બધા સંજોગો મળી આવે. જેને પોતાપણું ગયું એ જે માગે એ, માગવાનો વિચારેય ના કરતા હોય, પણ એને આવી મળે. આ તો એને ભય લાગે છે કે હું શું કરીશ ? એ ભય કાઢવા માટે અમે (આ ગોઠવણી) કરવા જઈએ ! આટલું છોડીને, આટલા આને ને આપણે ભાગે કંઈ નહીં ! અગર તો સંઘને કહીએ કે આ તમને બધાને આપી દીધું. હવે મારી પાસે કંઈ છે નહીં. હવે મારે માટે જરૂર હશે ત્યારે લઈશ, સંઘ પાસેથી. અગર તો એવું કંઈ જેટલા આવશે, એટલા ત્યાં સોંપી દઈશ. અમારું ઉદયાધીન હોય, અને તમે આ રીતે કરો તોય ઉદયાધીનની નજીકમાં આવો. આ દેશનાપૂર્વક કર્યું કહેવાય. અને તમને પેલું સહેજાસહેજ ! પણ ઘણો ફેર પડી જાય. લાખ-બે લાખ બચે તો. સંઘને કહીએ આ તમને સોંપ્યા પછી આ આડખીલીઓ ના કરવી પડેને. હવે લાવ ભઈ, આપણે બેન્કમાં મૂકીએ, ડબલ કરીએ, એ બધું વિચાર જ ના આવેને ! પ્રશ્નકર્તા : પછી જવાબદારી દાદાની, મારે શું ? (પા.૨૭૦)દાદાશ્રી : બધી જ જવાબદારી દાદાની ! લખી આપું હઉ ! સર્વસ્વ સમર્પણ સુચરણોમાંતમારી ભક્તિ સુંદર જ છે. ચોખ્ખી, પ્યોર ! પણ પેલી લગડી રાખી મૂકવાની ટેવ છે. પેલી ગીની રાખી મેલો છો. પેલા તો બધી ગીનીઓ આપી દે. તે તમે કાલે બધું સમજી ગયા. અમે વાતચીત કરી એ પ્રમાણે તમે બધું ગોઠવી દેશો તો બધું નીકળી જશે. દાદાના આધારે કર્યું એટલે સર્વ આધાર તૂટી ગયા. બધા આધાર તૂટી ગયા ને તે જ આત્મા હતા અને તેને સંસારના ભય છૂટ્યા. નહીં તો એક ગીની રાખી મૂકે. કહેશે કામ લાગે ! અલ્યા, ભડકે છે શાને માટે આટલું બધું ? આટલા બધા માટે નથી ભડકતો ને થોડા હારુ ભડકે છે ? સર્વસ્વ અર્પણતા જ જોઈએ, સર્વસ્વ ! પ્રશ્નકર્તા : આ સર્વસ્વ અર્પણતા જ છેને ! દાદા, શું બાકી રહ્યું ! દાદા સિવાય કશું ખપતું નથી મને કંઈ. દાદાશ્રી : તમારું બાકી છે તે થઈ જશે હવે. બીજું બધુંય છે. પણ આ જે છેને, આ તમારું ને આ મારું એ ભેદ ઉડાડવા માટે ઘેર મેં તમને નહોતું કહ્યું કે આટલા છે તે બેનને આપી દેવા. તમારે માથે કશું નહીં રહે એવું કરી નાખો. વેરોય ભરવાનો ના રહે ! મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે, ‘નીરુબેન આપો મને’ ! અને તમારે જરૂરેય શાના માટે ? એ તો બધું લોકો આપનાર હોય જ જોડે. એટલે આત્મામાં રહે પછી, આત્મા જો આત્મામાં આવી ગયોને તો છૂટો ! તમને સમજ પડીને ? નહીં તો કહેશે, મારે આ છેને, આ છેને, તે આધાર ! શું સમજ્યા તમે ? શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનો ! પ્રશ્નકર્તા : માંદગી આવીને ખર્ચ થયો. હતું તો ખર્ચ્યા, નહીં તો કોણ જુએ ? (પા.૨૭૧)દાદાશ્રી : નહીં, નહીં આપણે જેને જોનાર છે, જોશે એવું માનીએ છીએને, તેય છેવટે ખોટું પડે છે. દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે બધું ભગવાનને ઘેર ! જવાબદારી દાદાની પછી ! મારી પાસે ચાર આનાય રાખવાના નથી. બધા અહીં (મંદિરમાં) મૂકી દેવાના, બધુંય અને ભવિષ્યમાં આવશે તેય ત્યાં જ. બાની જમીનના આવવાના છે તેય ત્યાં મૂકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા મને ગાડી આપવા માગે છે. હું શેના માટે લઉં ? હું, આત્મા ને બેઠકપણ આ કશું બેઠકની જગ્યા રાખી તે હું, આત્મા ને બેઠક, એમ ત્રણ થયું. હું ને આત્મા એક જ થાય, આ હું સમર્પણ થઈ ગયું એટલે ! તમે સમજ્યા ? તે જગતમાં જ્ઞાની એકલાને જ કોઈ વસ્તુનો આધાર ના હોય, જ્ઞાનીને આત્માનો જ આધાર હોય કે જે નિરાલંબ હોય. પ્રશ્નકર્તા : કોને આત્માનો આધાર ? હું ને બેઠકને હોય ? દાદાશ્રી : હું જ આત્મા અને આત્મા તે હું. આધાર જ આત્માનો એટલે અવલંબન ના હોય. કોઈ અવલંબન ના હોય. નિરાલંબ થાય છે નિરાલંબ ! એ સમજ્યા છે નિરાલંબ ! એ જાણે છે ‘દાદા’ નિરાલંબ છે. પ્રશ્નકર્તા : એટલે હું ને આત્મા એક જ થઈ જાય ? દાદાશ્રી : એક થઈ જાય બસ. પ્રશ્નકર્તા : અથવા તો બેઠક હોય ને હું ને આત્મા બે એક થઈ જાય એવું બને ? દાદાશ્રી : ના, ના, બેઠક હોય તો ગુરખો રાખવો પડે. ત્યાં એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકેય એ સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નથી લાગતું ? પ્રશ્નકર્તા : હા, દગો જ નીકળે છે. દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ? (પા.૨૭૨)પ્રશ્નકર્તા : એ બેઠકમાં જ્ઞાની એકલું જ રાખવાનું, બીજું કશું જ નહીં. દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું તમે જે કરો એ, તમારું જે કરો એ મારું કરો, એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે. એટલે એને તો જુદા ગણાય નહીં, પછી ભય નહીં રાખવાનો કે જ્ઞાની માંદા થાય તે એ ના હોય તો આપણે શું કરીએ ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે એ અવલંબન અમારું હોય જ નહીંને. અમે નિરાલંબ હોઈએ. સહેજેય અવલંબન ના હોય. આ દેહનું કે પૈસાનું કે કોઈ એવું. પ્રશ્નકર્તા : પણ દાદા, અમને તો જ્ઞાનીનું ને જ્ઞાનીના દેહનું એકસરખું જ અવલંબન લાગે. દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે. દેહના પર તો અવલંબન રખાતું હશે ? આ જ્ઞાનને જાણોતમે વિચાર કર્યો કે બધો ? નકશો કશો ચીતર્યો આનો ? નકશો ચીતરો. જબરજસ્ત કે દાદા આમ કહે છે, દાદા આમ કહે છે. નકશો ચીતરો પછી કયે ગામ જવું, પછી ક્યાં મુકામ કરવો એ નકશામાં ખોળી કાઢવું. અને અમારું કહેવું જ્ઞાન તરીકે હોય. આવું કરવું એવો અમારો આદેશ ના હોય. જ્ઞાન જો આપણને કામ લાગે એવું હોય તો લેવું. ના કામ લાગે તો ત્યાં ને ત્યાં જ છે. અમે તો જ્ઞાનની વાત કરીએ. ભગવાને જ્ઞાન જ લખેલું છે ચોપડીમાં, તારું શું થઈ રહ્યું છે એ જ્ઞાનના આધારે માપી જો. એવું જ્ઞાન છે ત્યારે લોકો જ્ઞાનનું આરાધન કરે છે. અમારી સર્વ હિતકારી વાત હોય. અમારો આમાં એ આગ્રહ ના હોય કે તમારે આ કરવું કે ના કરવું. માણસને એવું થઈ જાય કે દાદાએ કહ્યું ને મારે હવે... એવું કરવાની જરૂર જ નથી. તમારે અનુકૂળ આવે (પા.૨૭૩)તો કરવાનું. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, એ એવિડન્સના આધારે જે હોય તે થાય. આ તો અમે કહી જાણીએ. આમ તો કો’કને કહીએ, તમારે આ જ્ઞાન લેવું હોય તો લેજો. અને ન લીધું તો કંઈ નહીં, કહેવું તો જોઈએ જ અમારી ફરજ. બીજું તો અમારા હાથમાં નહીં. વ્યવસ્થિતના તાબામાં. વ્યવસ્થિત જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. એટલે આમાં બોધરેશન કશું રાખવાનું નહીં. શું થાય છે એ જોવું. દાદાનું તો જ્ઞાન છે. જ્ઞાન પ્રમાણે થાય છે કે નથી થતું, એ જોવું. ધંધામાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : એક પ્રશ્ન છે દાદા ? દાદાશ્રી : થોડું ઘણું સમાધાન થાય છે ? તે મને કહો. પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : તો પછી આગળ ચાલવા દો હવે, જે જે તમારી પાસે હોય એ બધી વિગત મેલો. પ્રશ્નકર્તા : માનસિક દુઃખ કોઈને પહોંચાડીએ ત્યારે અન્યાય કર્યો કહેવાય. જો આપણે ધંધો કરતાં હોઈએ, અને ધંધામાં તો માલ એનો એ જ છે. ભાવ વધારીએ તો કમાણી થાય, જ્યારે તમે ભાવ વધારો તો એનાથી બીજાને મનદુઃખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ? દાદાશ્રી : ‘તમે’ ભાવ વધારો તો દુઃખ થાય, ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. તમે કર્તા થઈ જાવ તો દુઃખ થાય. ને વ્યવસ્થિતને કર્તા જો સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. ખરેખર તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ ઉપર મૂક્યા છે કે, તમારી જોખમદારી બંધ થઈ જાય, જોખમદારીનો એન્ડ થાય. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને. (પા.૨૭૪)છતાંય એમની ઇચ્છા એવી છે કે, ‘આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા ?! અમે કરી શકીએ એમ છીએ.’ જો તમે કર્તા હો તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને હોં, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આજ્ઞા સમજે તો નિવેડો આવે. પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લઈએ એટલે બીજાને દુઃખ પહોંચે છે, આપણા કર્મથી. દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હુ (Who) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવા-દેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા. પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર તો થાય. ત્યારે ખબર પડે કે સામી પાર્ટીને મનદુઃખ થાય છે. દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે, ભાઈ માફી માગી લો, કેમ આ દુઃખ કર્યું ? પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું. પ્રશ્નકર્તા : હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં, આજુબાજુની દુકાનવાળાએ પાંચ રૂપિયા વધારી દીધા, તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કહેવાય ? મને એ અડે કે ના અડે ? દાદાશ્રી : પણ કર્તા કોણ છે ત્યાં આગળ ? પ્રશ્નકર્તા : એ ચંદુભાઈ સાડી વેચવાવાળા. દાદાશ્રી : તમે શુદ્ધાત્મા છો, અને પછી આ ચંદુભાઈ કહો તો યુ (પા.૨૭૫)આર નોટ રિસ્પોન્સિબલ. અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુઃખ થયેલું લાગે એને. તો તમારે ચંદુભાઈને કહેવું જોઈએ કે ભઈ ‘તમે’ અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. બાકી તમારી જોખમદારી બિલકુલ નથી રાખી મેં. તમારી જોખમદારી ઉડાડી મેલી છે આ. પ્રશ્નકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે. દાદાશ્રી : ના. એ તેથી જ મેં વ્યવસ્થિત કહેલું કે એક વાળનો ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી. ‘વન લાઈફ’ માટે, હં !! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું, એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું, ને તેથી મારે વઢવુંયે ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા’તા ? ને કેમ આમ તમે ? મારે કશું વઢવું ના પડે. બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે. યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ ! એટલું બધું કહ્યું છે પાછું. આ છે અક્રમ વિજ્ઞાનઆ તો વિજ્ઞાન છે, તરત મુક્તિને આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળા મળે એવું છે. જ્યાંથી તાળો મેળવો ત્યાંથી તાળા મળ્યા જ કરે, અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં. એનું નામ સિદ્ધાંત કહેવાય. આ અક્રમ સિદ્ધાંત બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નથી. કારણ કે બુદ્ધિથી પરવસ્તુ છે આ !! બુદ્ધિ તો લિમિટેડ હોય. આની લિમિટેય ના હોય. બ્લેક માર્કેટિંગનું શું ?પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ (પા.૨૭૬)બ્લેકમાં પૈસા બનાવું છું. એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ જે કરે છે ને, એ જ બરાબર છે. પ્રકૃતિ જે જે કરે ને એ કૉઝની ઇફેક્ટ જ છે. પછી આપણે જાણીએ, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું એટલે આપણે ચંદુલાલને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ પ્રકૃતિમાં ગૂંથાયેલું એવું છે ને ! ‘આપણે’ ધોતા જવાનું પછી પાછળથી. વ્યાજ ખવાય કે નહીં ?પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ? દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય. પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ છે ? દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુઃખ થાય એવું વ્યાજ હોય. તેને અતિક્રમણ કહેવાય છે. પ્રશ્નકર્તા : એ શાસ્ત્રમાં વ્યાજ ખાવાની ના લખી છે, એ શું ગણતરીઓ છે ? દાદાશ્રી : વ્યાજ માટે ના તો એટલા માટે લખેલી છે કે, જે વ્યાજ ખાય છે એ માણસ ત્યાર પછી કસાઈ જેવો થઈ જાય છે, માટે ના પાડી છે. એ અહિતકારી છે એટલા માટે ! દુઃખ થાય ત્યાં પ્રતિક્રમણઆદર્શ વ્યવહારથી આપણાથી કોઈનેય દુઃખ ના થાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. આપણાથી કંઈ એની ભાષામાં ના જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડ-દેવડ વગેરેમાં વ્યવહાર છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા, કોઈનેય દુઃખ ના થવું જોઈએ તે જોવાનું ને (પા.૨૭૭)દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર ! કરો ઉઘરાણીવાળાનાં પ્રતિક્રમણઆ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે, અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે. પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો રહેને ? દાદાશ્રી : માંગવા ના માંગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું. કાળા બજારનાંય પ્રતિક્રમણપ્રશ્નકર્તા : અત્યારે ટેક્સો એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ? દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તોય એ હળવું થઈ જાય. પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળા બજારનો માલ લાવ્યા તે પછી કાળા બજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. હા, પહેલાં પ્રતિક્રમણ કરતા ન હતા, તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યું, એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળા બજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ‘ચંદુલાલ, વેચો તેનો વાંધો નહીં, એ ‘વ્યવસ્થિત’ના આધીન છે. પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીએ (પા.૨૭૮)કે ફરી આવું ના થાય. ચોરીઓનાંય પ્રતિક્રમણલોકો પર તને ચીઢ ચઢે છે ? પ્રશ્નકર્તા : ઘરમાં કોઈના દોષો દેખાય ને તો ચીઢ ચઢે. દાદાશ્રી : ચીઢ ચઢે ? ચંદુલાલને ? પ્રશ્નકર્તા : ચંદુલાલને જ ને ! દાદાશ્રી : અને ‘તને’ ? ‘તને’ ચીઢ ના ચઢે ?! પ્રશ્નકર્તા : ચીઢેય એને ચઢે અને ભોગવટોય એને આવે ! દાદાશ્રી : જેને ચીઢ ચઢે એને ભોગવટો આવે જ, પછી તને કેટલી ખોટ ગઈ ? પ્રશ્નકર્તા : બહુ ભારે ખોટ ગઈ. દાદાશ્રી : એમ ? લોકોને મારવાના ભાવ નથી આવતા ને ? લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ. આમ, તેમ ? પ્રશ્નકર્તા : એવું નથી થતું. દાદાશ્રી : લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ? પ્રશ્નકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ? દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વજન વધારે લખી નાખવું. પ્રશ્નકર્તા : એ થોડું ઘણું રહ્યા કરે. દાદાશ્રી : હજુ ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ? પ્રશ્નકર્તા : કોઈ વખત થઈ જાય, કોઈ વખત નહીં થતું. દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે એકસો- (પા.૨૭૯)એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ? પ્રશ્નકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ? દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો પૂર્વ ફોર્સથી થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વ ફોર્સથી થયા કરે છે. પ્રશ્નકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ? દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને ? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ? પ્રશ્નકર્તા : આવું ના હોવું ઘટે. દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ! પાછલું સ્વરૂપ કેવું હતું ? પ્રશ્નકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટિન્યુઅસ દેખાયા જ કરતા હોય તો શું કરવું ? દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાથું પ્રતિક્રમણ કરવું, પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ. પોતે જજ ને પોતે આરોપીલોકો કહે છે કે, ‘આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માંગી લઈશું.’ હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી ને તમારે ને તમારે જ માફી આપવાની. (પા.૨૮૦)ડિસઓનેસ્ટી એટલે બેસ્ટ ફૂલિશનેસએક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.’ તેને હું કહીશ, ‘પ્રામાણિક રહેજે, નીતિ પાળજે.’ મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું તે દેવધર્મ છે. પણ બીજાનું અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડિસ્ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેશ !’ ઓનેસ્ટ થવાનું નથી. તો મારે શું દરિયામાં પડવું ? મારા દાદા શીખવાડે છે કે, ડિસઓનેસ્ટ થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઊજળો થઈ જશે. ડિસ્ઓનેસ્ટીને, ડિસ્ઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાતાપ કર. પશ્ચાતાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે. અનીતિનાં ખૂબ ખૂબ પ્રતિક્રમણઅનીતિથી પૈસા કમાય એ બધું જ છે તે એના ઉપાય બતાવેલા હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહે ? કે પ્રતિક્રમણ કર કર કરો કે અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ૪૦૦-૫૦૦ પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને શુદ્ધાત્માએ કરવાનું નહિ. ‘ચંદુલાલ’ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે. હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય તો તરત તમને ખબર પડી જાય કે, આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટ હોવું જોઈએ. આ બેંકેય કેશ કહેવાય છે અને પેમેન્ટેય કેશ કહેવાય છે. અટકે અંતરાય કેમ કરીને ?ઑફિસમાં પરમિટ લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં એમ થાય કે, ‘સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે.’ હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ. આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઑફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા ‘આસિસ્ટન્ટ’ને અક્કલ (પા.૨૮૧)વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે જાય છે, ખોઈ નાખે છે ! સામાને અક્કલ વગરનો કહેવાનો તમને ‘રાઈટ’ જ નથી. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એનેય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનું તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય. અંડરહેન્ડને ટૈડકાવ્યા તેનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુતકારી કાઢેલા. દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં, તમારે પોતાને માટે નહીં, સરકારને માટે. એ સિન્સિયારિટી કહેવાય. પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાને તો દુઃખ થયું હશેને ? દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું. પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું. દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવથી લઈને સરકારનું કામ કરવામાં, જે જે દોષો થયા હોય, લોકોને દુઃખ થાય એવું કર્યું છે એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું. દેણદારને ઉપરથી ચૂકવ્યામેં એક ફેરો જ્ઞાન થયા પછી ઇનામ કાઢ્યું હતું કે, મને એક ધોલ મારે તેને પાંચસો રૂપિયા મારે ઇનામ આપવા. ત્યાર પછી મેં લોકોને સમજણ પાડી કે, ‘અલ્યા ! ભીડવાળો હોય તો કોઈની પાસે સો રૂપિયા (પા.૨૮૨)ઉછીના ખોળવા જવા, એના કરતાં અહીં આવીને લઈ જજેને પાંચસો રૂપિયા !’ ‘આ શું બોલ્યા ?! તમને ધોલ મારીને અમારી શી દશા થાય ?!’ એટલે કોઈ મફત ધોલ આપનાર નથી અને મફત આપનાર હોય તો આપણે ઉપકાર માનવો કે ઓહોહો ! આજે જે પૈસા આપતાંય નથી મળતું, તે આ મળ્યું. તેનો ગુણ કેટલો બધો હશે, નહીં ? પ્રશ્નકર્તા : બહુ. દાદાશ્રી : ના માનવો જોઈએ ? પૈસા આપતાંય ના મળે. કોઈ ખોટું કરે નહીં. ખોટું કરવાનો અહંકાર કરે, ના ભઈ હું શું કરવા કરું ? હું શું કરવા બંધનમાં આવું ? આ તો એનું ખોટું કરેલું છે એનું પરિણામ આપે છે લોકો, સામાએ કર્યું છે એનું ફળ આપે છે. પોલીસવાળાને ચોરને મારવાનું સારું લાગતું હશે ? પણ એના નિમિત્તે ફળ મળે છે એને. અને પોલીસવાળોય ખુશ થાય મહીં, આમ આવડી આવડી ચોપડે. કારણ કે ઇગોઈઝમ છે એની પાછળ ! (પા.૨૮૩)(૫) લોભથી ખડો સંસારપરિગ્રહ પમાડે અશાંતિપ્રશ્નકર્તા : સાંસારિક માણસને શાંતિ મળી શકે એવું કંઈક આધ્યાત્મિક જ્ઞાન, સમજ આપો. દાદાશ્રી : સાંસારિક માણસને શાંતિ જ હોય છેને ? એને ક્યારે અશાંતિ હોય છે ? પૈણેલો નથી તેને અશાંતિ હોય છે. પૈણેલા માણસને શાંતિ જ હોય છેને ? પ્રશ્નકર્તા : આધ્યાત્મિક શાંતિ મળી શકે, સંસારમાં રહીને ? દાદાશ્રી : આધ્યાત્મિક શાંતિ જુદી જાતની હોય ? શાંતિ એક જ પ્રકારની હોય. પ્રશ્નકર્તા : પણ શાંતિ મેળવવાના કંઈક રસ્તાઓ ? દાદાશ્રી : શાંતિ તો આપણે આ સાંજે સૂઈ જવા માટે નવ ગોદડાં પાથરીએ તો નવને આપણે પાથરવાં પડે ને નવને આપણે ઉઠાવવાં પડે. અને એક પાથરીએ તો ? પ્રશ્નકર્તા : તો એક ઉઠાવવું પડે. દાદાશ્રી : એટલે કેમ શાંતિ ખોળવી તે તો આપણને રસ્તો આવડવો જોઈએ ને ? ઓછા પરિગ્રહ, ઓછી ભાંજગડ ! મહીં શાંતિ જ હોય પછી શું ? પરિગ્રહ, સોફાસેટ ને કશું રાખ્યું નથી ને ? પ્રશ્નકર્તા : આજકાલ રાખવું જ પડેને ! દાદાશ્રી : અને પલંગો-બલંગો, સોફા-બોફા; અને પછી બાબાએ (પા.૨૮૪)જો સોફાસેટ ઉપર ચીરો મેલ્યો, તે કકળાટ પછી ! આપણે જે પરિગ્રહ રાખીએ એ પરિગ્રહ ખોવાઈ જાય, બળી જાય, ચોરાઈ જાય તોય એના ઉપર અશાંતિ ના થાય, દુઃખ ના થાય, એટલો જ પરિગ્રહ રાખવો. સોફાસેટ લાવ્યા એટલે આપણે જાણીએ કે સોફા કાપવાનો જ છે, એમ માનીને જ છોકરાંને કહી દેવાનું કે, ‘ભઈ, તમે તમારે આને કાપશો નહિ.’ એટલું કહી દેવાનું તમારે. અને પછી કાપે ત્યારે બૂમ નહીં પાડવાની. અમે જાણીએ કે કાપવાના જ છે. આ તો કકળાટ માંડે પાછો. અને જીવન જ ખોઈ નાખ્યું છે. જીવન જીવવા જેવું છે આ તો ! સ્મશાનમાંય પાથરી પથારી ?લોક પૈસાની પાછળ જ પડ્યા છે કે ક્યાંથી પૈસો લેવો ?! અલ્યા, આ સ્મશાનમાં શેના પૈસા ખોળો છો ? આ તો સ્મશાન થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી, ખાવાપીવામાં ચિત્તનાં ઠેકાણાં નથી, લૂગડાં પહેરવાનું ઠેકાણું નથી, જણસો પહેરવાનું ઠેકાણું નથી, કશામાં બરકત ના રહી. આ કઈ જાતનું આવું ક્યાં સુધી ચાલશે ? આ કઈ જાતની જીવાત પાકી એ જ સમજાતું નથી ! આખો દહાડો પૈસા, પૈસા ને પૈસાની પાછળ જ ! ને પૈસો કુદરતી રીતે આવવાનો છે. એનો રસ્તો કુદરતી રીતે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિય એવિડન્સ છે, તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારુંને બાપ ! આનંદના અભાવે અંધારુંદાદાશ્રી : હવે પૈસા ભેગા કરવાની ઇચ્છા થતી નથી ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ તો પૈસા ભેગા કરવાની ઇચ્છા માણસને શાથી થાય છે ? કંઈ પણ ચેન ના પડે એટલે, ગમે તે બાજુ ઢળી પડે. પૈસામાં પડી રહે, વિષયોમાં ઢળી પડે. જો આવો જ્ઞાનનો આનંદ હોયને, તો તૃપ્તિ જ હોય એને. પછી ક્રોધ-માન-માયા-લોભ રહે જ નહીં એને. આ તો આનંદ ના હોવાથી જ બિચારા લક્ષ્મી તરફ ઢળી પડ્યા છે, સ્વરૂપનું ‘જ્ઞાન’ થાય ત્યાર પછી જ લોભ જાય. (પા.૨૮૫)લોભી પ્રકૃતિજે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું તેનું નામ લોભ. એ મળે તોય સંતોષ ના થાય ! લોભિયો તો સવારમાં ઊઠ્યો ત્યાંથી રાત્રે આંખ મીંચાય ત્યાં સુધી લોભમાં હોય. એનું નામ લોભિયો. સવારમાં ઊઠ્યો ત્યારથી ગાંઠ જેમ દેખાડે તેમ એ ફર્યા કરે. લોભિયો હસવામાંય વખત ના બગાડે. આખો દહાડો લોભમાં જ હોય. માર્કેટમાં પેઠો ત્યાંથી લોભ. જો લોભ, લોભ, લોભ, લોભ ! વગર કામનો આખો દહાડો આમ ફર્યા કરે. લોભિયો શાકમાકેર્ટમાં જાયને તો એને ખબર હોય કે આ બાજુ બધું મોંઘું શાક હોય અને આ બાજુ સસ્તી ઢગલીઓ વેચાય છે. તે પછી સસ્તી ઢગલીઓ ખોળી કાઢે ને રોજ એ બાજુ જ શાક લેવા જાય. પ્રશ્નકર્તા : એ સસ્તું શાક લેવા જાય, એમાં ફસાય જ ને ? દાદાશ્રી : ના, એ તો લોભિયો ના હોય તે ફસાય. લોભિયો તો પેલાની પાસેથી વધુ લઈ લે ને આવતો રહે. જે લોભિયો ના હોયને તે જ સસ્તું લેવા જાય તો ફસાય. લોભિયો ફસાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ કોઈ ફેરો ફસાઈ જાયને ? દાદાશ્રી : એ તો લોભિયો ઠગાય ખરો. પણ ધુતારા એમને મળે ત્યારે. એમને કોઈક ફેરો ધુતારો મળી જાય. જ્યાં જાય ત્યાં ખોળે સસ્તુંલોભિયો માર્કેટમાં જાય ત્યારે લોભની ગાંઠ એને દેખાડે કે આ બાજુ શેઠિયાઓ માટે મોઘું શાક છે ને આ બાજુ ગલીમાં સસ્તી ઢગલીઓ મળે છે. તે ત્યાં એને લઈ જાય ! લોભની ગાંઠ એને ફેરવ્યા કરે. સસ્તું ક્યાં આગળ મળે છે તે ખોળી કાઢે. ધંધો જ એ એનો ! જ્યાં જાય ત્યાં દુકાને જાય તો પાન ક્યાં સસ્તું મળે છે એ ખોળી કાઢે. એને પાન ખાવાની ટેવ હોયને, તો રસ્તામાં સસ્તું ક્યાં મળે છે, ચા પીવાની સસ્તામાં સસ્તી ક્યાં મળે, અને સારી પાછી, સારી અને સસ્તી ! એની શોધખોળ હોય બધી. શાકભાજીયે સારી અને સસ્તી ખોળી કાઢે. ક્યાં વધારે સસ્તાં (પા.૨૮૬)દાતણ મળે ? ત્યાંથી લઈ આવે એનું નામ લોભિયો. બાકી લોભિયાને, બસ એ લોભમાં જ વૃત્તિ. જન્મ્યો ત્યાંથી સ્કૂલમાં જાય, ત્યાંય લોભ, સંડાસમાં જાય ત્યાંય લોભ ! જ્યાં જાય ત્યાંય એને લોભ જ હોય. પ્રશ્નકર્તા : સંડાસમાં કેવી રીતે લોભ કરે ? દાદાશ્રી : ત્યાં પાણી બધું ઓછું વાપરે. એટલે ધંધામાં એને લોભ હોય. એ લોભગ્રંથિ એની ! એ જન્મથી એને લોભ હોય. જો તમે સાબુથી નાહવા ગયા હોયને, તો નાહીને બહાર આવ્યા પછી એ જુએ કે કેટલો સાબુ ઘસી નાખ્યો. હરેક બાબતમાં જાગૃતિ એની લોભમાં હોય. તેને આ દીવાસળી બે સળગાવવી ના પડે, એટલે આમ હાથે ઘસ ઘસ કરે. તે એક જ દીવાસળીથી પતાવે ! એટલે હરેક બાબતમાં જાગૃતિ ! એ જન્મ્યો ત્યારથી લોભમાં જ વૃત્તિ હોય. એમાં ને એમાં ચિત્ત હોય. એ ત્યાં આગળ સ્મશાનમાં જાય ત્યારે એનો લોભનો આંકડો પૂરો થાય ! એ લિંક હોય છે આખીયે. આપણે જ્યારે જગાડીએને, ત્યારે એ લોભમાં જ હોય. જાગ્યો કે લોભમાં ! લોભિયાનું સરવૈયુંઆ કીડીઓ હોય છેને, એ કીડીઓને લોભ બહુ જબરજસ્ત હોય. એક ભાઈને મેં કહ્યું, ‘કીડીઓ તમે જોઈ નથી શું ?’ ત્યારે એ કહે, ‘જોઈ છેને. રાતદા’ડો કીડીઓ જ જોઈએ છીએને !’ મેં કહ્યું, ‘સવારમાં ચાર વાગ્યે ચા પીતો હોઉંને તે ઘડીએ હું તપાસ કરું કે ખાંડનો દાણો બહાર પડ્યો હોયને તો ત્યાં આગળ કીડીઓ ચાર વાગે ક્યાંકથી આવીને ખાંડનો દાણો લઈને ચાલતી જ પકડી લે ! અરે, તું શું કરવા વહેલી ઊઠે છે ? તારે છોડીઓ નથી, તારે પૈણવાનું નથી, આટલી ભાંજગડ શા હારુ તારે ? શું જોઈએ છે ? તું ભૂખી છે ? ના, એ ખાંડ પાછી પોતે નહીં ખાવાની. એ તો ત્યાં જઈને સ્ટોરમાં મૂકી આવવાની. તે સ્ટોરમાં બધું હોય. બાજરી (પા.૨૮૭)હોય, ચોખા હોય, ખાંડ હોય, બધું ભેગું હોય તે આટલો બધો સ્ટોક હોય ! ત્યાં મૂકી આવે. બધું ભેગું કર કર કર્યા કરે. જો જીવડાની પાંખ હોય તોય બધી કીડીઓ ભેગી થઈને તાણી જાય. લોભિયાનું સરવૈયું શું ? ભેળું કરે. તે પંદર વરસ ચાલે એટલું કીડી ભેળું કરે. તેને ભેળું કરવાની એક જ તન્મયતા. એમાં કોઈ વચ્ચે આવે તો કરડીને મરી ફીટે. કીડીઓને કોણ દોડાવે ?દાદાશ્રી : આટલું વહેલું આ કીડીઓને કોણ ઉઠાડતું હશે ? પ્રશ્નકર્તા : એનો સ્વભાવ જ છે એવો. દાદાશ્રી : આ બધાનાં જાનવરોને, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય સુધી બધામાં વધારેમાં વધારે લોભી હોય તો કીડી. એ તો લોભ જગાડે. થોડીવાર સૂઈ જાય, પણ એનો લોભ એને જગાડે. તે આ ખાંડ લઈને પાછું એમ ને એમ નહીં મૂકવાનું. મૂકી ગયા બદલનો એક ડંખ મારીને મૂકી દે. પછી ભવિષ્યમાં કામ લાગશે એ હિસાબે ! લોભિયો ભવિષ્યના હારુ બધું ભેગું કરે. તે બહુ ભેગું થાય એટલે પછી બે મોટા મોટા ઉંદર પેસી જાય ને બધું સાફ કરી જાય ! જો પેલા પચીસ લાખનો એક ઉંદર પેસી ગયોને ! એટલે અમે લોકોને શિખવાડીએ, ઉંદરડા પેસી જશે. માટે તું ચેત ને ! અમે નથી કહેતા કે તું આ પુસ્તક માટે આપ, પણ ગમે ત્યાં આપ. કંઈક તારે જોડે લઈ જવાનું કર. નહીં તો ઉંદરડા ખાઈ જાય કે ના ખાઈ જાય ! એ કંઈ શરમ રાખે કે આ બિચારાને હરકત થશે ? જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા હોય જ. એની મેળે જ હોય. ભગવાનને રાગે પાડવા ના આવવું પડે. ગોઠવાયેલો જ ક્રમ હોય. કીડીઓનું ઉંદરડા ખાઈ જાય અને ઉંદરડાનું બિલાડી ખાઈ જાય. એ સંઘરી સંઘરાય નહીંલક્ષ્મી ભેગી કરવાની ઇચ્છા વગર ભેગું કરવું. લક્ષ્મી આવતી હોય તો અટકાવવી નહીં અને ના આવતી હોય તો ખોતરવી નહીં. લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ (પા.૨૮૮)પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રાખશે; એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એ તો તે દહાડે જે આવે તે જ સાચું. ફ્રેશ હોવું જોઈએ. માટે આવતી વસ્તુ બધી વાપરવી, ફેંકી ના દેવી. સદ્રસ્તે વાપરવી, અને બહુ ભેગી કરવાની ઇચ્છાઓ રાખવી નહીં. ભેગી કરવાનો એક નિયમ હોય કે ભઈ, આપણી મૂડીમાં અમુક પ્રમાણમાં તો જોઈએ. જેને મૂડી કહેવામાં આવે, એટલી મૂડી રાખી અને પછી બાકીનું યોગ્ય જગ્યાએ વાપરવું. લક્ષ્મી નાખી દેવાય નહીં. પણ જો લોભિયો ભેગું કરવા માંડેને, તો એને ત્યાં છોકરા એક બે એવા દારૂડિયા પાકે કે એનું નામ તો નીકલી જાય, નીકળી જાય, પણ એનું આખું ઘરબાર બધું ઊડી જાય. એવું આ જગત છે. માટે સંઘરો કરશો તો કોઈ ખાનારો મળી રહે છે, એનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો. જેમ શાકભાજીને સંઘરી રાખે તો શું થાય ? એવું લક્ષ્મીજીનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો અને લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો એ મહાગુનો છે. નુકસાન થાય તો ?દાદાશ્રી : અત્યારે કોઈ શેઠ હોય ને એની પાસેથી બે હીરા કોઈ લઈ ગયો અને ‘દસ દહાડે પૈસા આપીશ’ એમ કહ્યું, પછી છ મહિના, બાર મહિના સુધી પૈસા ના આપે તો શું થાય ? શેઠને કશી અસર થાય ખરી ? પ્રશ્નકર્તા : મારા પૈસા ગયા એવું થાય. દાદાશ્રી : મારું કહેવાનું કે એક તો હીરા ગયા એ ખોટ તો ગઈ અને ઉપરથી પાછું આર્તધ્યાન કરવાનું ? અને હીરા આપ્યા તે આપણે રાજી-ખુશી થઈને આપ્યા છે, તો પછી એનું કશું દુઃખ હોય નહીંને ? પ્રશ્નકર્તા : લોભ હતો એટલે આપ્યાને ? દાદાશ્રી : અને પાછો એ જ લોભ આર્તધ્યાન કરાવડાવે છે. એટલે (પા.૨૮૯)આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે, ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવદશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાત્રે ઊંઘવા ના દે પાછા. દસ દહાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે પચાસ હજારના હીરા છે, પણ શેઠની મિલકત કેટલી ? પચ્ચીસ લાખની હોય. હવે એમાં પચાસ હજારના હીરા બાદ કરીને સાડીચોવીસ લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ ? અમે તો એવું જ કરતા હતા. મારી આખી જિંદગીમાં મેં બસ એવું જ કર્યું છે ! જ્ઞાનીની અદ્ભુત બોધકળાશેઠના હીરાના પૈસા ના આવ્યા હોય છતાં શેઠાણી કંઈ ચિંતા કરે ? ત્યારે શું એ ભાગીદાર નથી ? સરખા પાર્ટનરશિપમાં છે. હવે શેઠ કહે છે, ‘પેલાને હીરા આપ્યા, પણ એના પૈસા નથી આપતો.’ ત્યારે શેઠાણી શું કહેશે કે, ‘બળ્યું, આપણા કર્યા હશે, તે નહીં આવવાના હોય તો નહીં આવે.’ તોય શેઠના મનમાં થાય કે, ‘આ અણસમજણવાળા શું બોલી રહ્યા છે !’ આ સમજણનો કોથળો ! પેલાએ પચાસ હજારના હીરાના રૂપિયા ના આપ્યા તો આપણે પચ્ચીસ લાખની મિલકતમાંથી પચાસ હજાર બાદ કરીને સાડીચોવીસ લાખની મિલકત નક્કી કરી નાખવી અને ત્રણ લાખની મિલકત હોય તો પચાસ બાદ કરીને અઢી લાખની મિલકત નક્કી કરી નાખવી. પ્રશ્નકર્તા : એ સમાધાન લેવાની કેવી અજબની રીત છે. એકદમ તરત સમાધાન થઈ જાય. દાદાશ્રી : એ તો નક્કી કરી નાખવાનું, સહેલો રસ્તો કરીને ! અઘરો રસ્તો કાઢીને શું કામ છે ?! ખોટનો વેપાર કરે એનું નામ વણિક કેમ કહેવાય. ઘેર આપણા ભાગીદારને પૂછીએ, બૈરીને કે, ‘આ પચાસ હજારનું ગયું તો તમને કંઈ દુઃખ થાય છે ?’ ત્યારે એ કહેશે, ‘ગયા માટે એ આપણા નથી.’ ત્યારે આપણે ના સમજીએ કે આ બઈ આટલી સમજણવાળી છે, હું એકલો જ અક્કલ વગરનો છું ?! અને બૈરીનું જ્ઞાન આપણે તરત પકડી લેવું પડેને ? (પા.૨૯૦)એક ખોટ ગઈ તેને જવા દે પણ બીજી ખોટ ના ખાય. પણ આ તો ખોટ ગઈ તેની જ કાંણ માંડ્યા કરે ! અલ્યા, ગઈ તેની કાંણ શું કરવા કરે છે ? ફરી હવે ના જાય તેની કાંણ કર. અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો ! જુઓને, પચાસ હજારના હીરા પેલો લઈ જનારો નિરાંતે પહેરે અને અહીં આ શેઠ ચિંતા કર્યા કરે ! શેઠને પૂછીએ કે, ‘કેમ કંઈ ઉદાસીન દેખાવ છો ?’ ત્યારે એ કહેશે, ‘કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં આ તો જરા તબિયત બરોબર ઠીક નથી રહેતી.’ ત્યાં ઊંધા લોચા વાળે ! અલ્યા, સાચું રડને કે, ‘ભઈ, આ પચાસ હજારના હીરા આપ્યા છે તેના પૈસા આવ્યા નથી, તેની ચિંતા મને થયા કરે છે, આમ સાચું કહીએ તો એનો ઉપાય જડે ! આ તો સાચું રડે નહીં અને ગૂંચાઈ ગૂંચાઈને લોચા જ વાળ વાળ કરે ! પ્યાલા ફૂટ્યા ત્યાંઆપણે કો’કને ત્યાં ગયા અને નોકર વીસ કપ ચા લઈને આવે અને એના હાથમાં પડી જાય એટલે પેલાને, જેને ત્યાં ગયા હોઈએ તેને મહીં આત્મા ફૂટી જાય ! શાથી ફૂટી જાય ? પ્રશ્નકર્તા : એની ચા જાય, એના પૈસા જાય, એને ટાઈમ જાય, જેને પાવાના હોય એ જાય ! દાદાશ્રી : ના, એ જાગ્રત ખરોને ! વીસ કપ એટલે વીસ તેરી સાઠ રૂપિયા ગયા અને ચા તો મૂંઈ, પણ સાઠ રૂપિયાનું પાણી કર્યું આણે ! પ્રશ્નકર્તા : ચા પીવડાવીને સ્વાગત ના કરી શક્યો. દાદાશ્રી : ના, એ ફરી પીવડાવે. એ છોડે નહીં ! એટલે આબરૂ જવા ના દે, આ લોકો તો ! આપણા લોકો આબરૂ જવા ના દે. પછી જે થવું હોય તે થશે. પ્રશ્નકર્તા : પણ સાઠ રૂપિયા ગયા તેનું શું ? દાદાશ્રી : તેની ઉપાધિ અંદર કર્યા કરે એ. અને મનમાં શું ચિંતા (પા.૨૯૧)કરે છે કે આ બધા જાય એટલે નોકરને ખૂબ ફટકારું. પછી ધ્યાન કરે આવું, કયું ધ્યાન ? નોકરને ખૂબ ફટકારું કહેશે. પેલી શેઠાણીય મનમાં કહેશે કે આ બધા જાય એટલે આલીએ. નોકરેય ફફડ ફફડ કરતો હોય ! હવે આ બધું સાઠ રૂપિયા ગયા એટલે થયું. પણ એક જૂનું માટલું તૂટી ગયું હોય ત્યારે શેઠ શું કહે ? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કારણ કે એની વેલ્યુ નહીં ને બહુ ! સમજ પડીને ? એવું આ માટલા જેવી આની શી વેલ્યુ ! તે ‘મૂળ વસ્તુ’ જુએ ત્યારે આની વેલ્યુ, આની કિંમત માટલા જેવી લાગે. આખું જગત માની બેઠું છે ને કિંમત બહુ માની બેઠું છે, નહીં ? આ માટલાની કિંમત બહુ માનેલી છે નહીં ?! બહુ જાગ્રત હોય તે પ્યાલા ફૂટે તોય છે તે મહીં કકળાટ થાય. જરા જાડા કાગળનો હોય તેને ઓછા કકળાટ જાય કે ઝીણી હોય તેને ? પ્યાલો ફૂટે તો જાગ્રતને વધારે કકળાટ થાય કે ? પ્રશ્નકર્તા : જાગ્રતને વધારે કકળાટ થાય. દાદાશ્રી : એ તો અમે કહ્યું છેને પેલી બુદ્ધિ વધી એટલે બળાપો વધશે, કાઉન્ટર વેઈટમાં અને બુદ્ધિના બેલને શું ભાંજગડ ? પ્રશ્નકર્તા : કશુંય નહીં. દાદાશ્રી : કોઈ બે ગાળો ભાંડી ગયો ને ત્યાર પછી થોડીવાર પછી કહે, ‘હવે શું કરીશ ?’ આજે હવે હમણે ખાઈને જરાક આરામ કરી લઉં, સૂઈ જઉં. અલ્યા, ભઈ, તને ઊંઘ આવશે ? ‘પેલી વાત ? એ તો ચાલ્યા જ કરે દુનિયા.’ એ બાજુએ મૂકે, એ લોકો અને અક્કલવાળા માથા ઉપર લે. ‘લોડ’ માથા ઉપર લે ! લોભને એક જાતની જાગૃતિ કહી છેને ? હા, બેફામપણું નથી એ, પણ એક બાજુ વહી ગયેલી જાગૃતિ, એટલે સુખ ના આપે. સંતોષ ક્યારે રહે ?લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય. આત્મજ્ઞાન નહીં, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં (પા.૨૯૨)સુધી એને લોભ રહ્યા કરે. અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં અને ના ભોવેલું હોય તેને કઈ કઈ જાતના લોભ પેસી જાય. પછી આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું રહ્યા કરે. આ સંતોષ શું છે ? પોતે ભોગવેલું હોય છે પહેલાં, એટલે એનો સંતોષ રહ્યા કરે. મૂળ માલ, મહીં જપ્રશ્નકર્તા : કેટલાક લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઈએ છે. કોઈની ગાડી જુએ એટલે એને પોતાનેય જોઈએ ? દાદાશ્રી : એ લોકસંજ્ઞા ક્યારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઈ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી નહીં. આ બધા જીવતા જાગતા રેડિયો જ ફર્યા કરે છેને ! મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા ! તૃષ્ણા, સંતોષ અને તૃપ્તિસંસારનું ખાઈએ, પીએ, ભોગવીએ તેનાથી સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. સંતોષમાંથી નવાં બીજ નંખાય, પણ તૃપ્તિ થઈ તો તૃષ્ણા ઊભી ના રહે, તૃષ્ણા તૂટી જાય. તૃપ્તિ અને સંતોષમાં ઘણો ફેર છે. સંતોષ તો બધાને થાય, પણ તૃપ્તિ તો કો’કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય. પણ તેની ઇચ્છા ફરી રહે. આને સંતોષ કહેવાય. જ્યારે તૃપ્તિ તો ફરી ઇચ્છા જ ના થાય, એનો વિચારેય ના આવે. તૃપ્તિવાળાને તો વિષયનો એકુંય વિચાર જ ના આવે. આ તો ગમે તેવા સમજદાર હોય પણ તૃપ્તિ ન હોવાથી વિષયોમાં ફસાઈ પડ્યા છે ! વીતરાગ ભગવાનનું વિજ્ઞાન એ તૃપ્તિ જ લાવનારું છે. લોકો કહે છે, ‘હું ખાઉં છું’ અલ્યા ભૂખ લાગી છે તેને ઓલવે છેને ? આ પાણીની તરસ સારી, લક્ષ્મીની તરસ ભયંકર કહેવાય ! એની (પા.૨૯૩)તૃપ્તિ ગમે તેવા પાણીથી ના છીપે. આ ઇચ્છા પૂરી થાય જ નહીં. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે, ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે. લોભી અને કંજૂસપ્રશ્નકર્તા : લોભિયો થોડો કંજૂસ પણ હોયને ? દાદાશ્રી : ના, કંજૂસ એ પાછા જુદા, કંજૂસ તો એની પાસે પૈસા ના હોય, તેથી કંજૂસાઈ કરે છે અને લોભી તો ઘેર પચીસ હજાર રૂપિયા પડ્યા હોય, પણ કેમ કરીને આ ઘઉં-ચોખા સસ્તા પડશે, કેમ કરીને ઘી સસ્તું પડશે એમ જ્યાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. માર્કેટમાં જાય તોય કઈ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય ! લોભિયો કોને કહેવાય કે જે હરેક બાબતમાં જાગ્રત હોય ! હવે આમાં બે જાતના હોય છે, પોતાની પાસે વસ્તુ ખૂટે છે, માટે કોઈકને ઘેરથી લાવતો હતો, ત્યારે એને લોભ ના કહેવાય. પોતાની પાસે બધી વસ્તુ છે, સાધન છે, બેન્કમાં થોડા રૂપિયા છે, તોયે આવું કરે. તેને લોભ કહેવાય ! ખૂટતી વસ્તુ હોય ને લઈ આવે એ તો સ્વાભાવિક વસ્તુ છે, એનો વાંધો નથી. પ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસમાં ફેર શો ? દાદાશ્રી : કંજૂસ ફક્ત લક્ષ્મીનો જ હોય, લોભિયો તો બધી જ બાજુએથી લોભમાં હોય. માનનો પણ લોભ કરે અને લક્ષ્મીનોય કરે. આ લોભિયાને બધી જ દિશામાં લોભ હોય, તે બધું જ તાણી જાય. અર્થશાસ્ત્રની સમજ, જ્ઞાની થકીપ્રશ્નકર્તા : લોભિયો થવું કે કરકસરિયા થવું ? દાદાશ્રી : લોભિયા થવું એ ગુનો છે. કરકસરિયા થવું એ ગુનો નથી. (પા.૨૯૪)‘ઇકોનોમી’ કોનું નામ ? ટાઈટ આવે ત્યારે ટાઈટ અને ઠંડુ આવે ત્યારે ઠંડું. હંમેશાં દેવું કરીને કાર્ય ન કરવું. દેવું કરીને વેપાર કરાય પણ મોજશોખ ના કરાય. દેવું કરીને ક્યારે ખવાય ? જ્યારે મરવા પડે ત્યારે. નહીં તો દેવું કરીને ઘી ના પીવાય. પ્રશ્નકર્તા : દાદા, કંજૂસાઈ અને કરકસરમાં ફેર ખરો ? દાદાશ્રી : હા, બહુ ફેર. હજાર રૂપિાય મહિને કમાતા હોય તો આઠસો રૂપિયાનો ખર્ચ રાખવો અને પાંચસો આવતા હોય તો ચારસોનો ખર્ચ રાખવો એનું નામ કરકસર. જ્યારે કંજૂસ ચારસોના ચારસો જ વાપરે, પછી ભલેને હજાર આવે કે બે હજાર આવે. એ ટેક્સીમાં ના જાય. કરકસર એ તો ઇકોનોમિક્સ-અર્થશાસ્ત્ર છે. એ તો ભવિષ્યની મુશ્કેલી ધ્યાનમાં રાખે. કંજૂસ માણસને દેખીને બીજાને ચીઢ ચઢે કે કંજૂસ છે. કરકસરિયા માણસને જોઈને ચીઢ ના ચઢે. જોકે કરકસર કે કંજૂસ એ રિલેટિવ છે. લાફા માણસને કરકસરિયોય ના ગમે. આ બધો ડખો સંસારમાં ભ્રાંતિની ભાષામાં રહેલો છે કે લાફા ના થવું જોઈએ, પણ કરકસરિયા માણસને ગમે તેટલું કહીએ તોય એ ના છોડે, અને પાજી માણસ કરકસર કરવા જાય તોય પાજી રહે. લાફાપણું કે કંજૂસપણું એ બધું સહજ સ્વભાવે છે. ગમે તેટલું કરે તોય વળે નહીં. પ્રાકૃત ગુણો બધા જ સહજ ભાવે છે. છેવટે તો બધામાં જ નોર્માલિટી જોઈશે. આ અમારા ગજવામાં પૈસા મૂકે તે તો આ ટેક્સી કે ગાડી એકલામાં જ વપરાય. નથી વાપરવું એમ પણ નથી અને વાપરવા છે એમ પણ નથી. એવું કશું જ નક્કી નહીં. નાણું વેડફી નાખવાનું ના હોય, જેવા સંયોગો આવે તેમ વપરાય. આ દાદાય ઝીણા છે, કરકસરિયાય છે અને લાફાય છે. પાકા લાફા છે, છતાંય કમ્પ્લિટ એડજેસ્ટેબલ છે. પારકા માટે લાફા અને જાતને માટે કરકસરિયા અને ઉપદેશ માટે ઝીણા; તે સામાને અમારો ઝીણો વહીવટ દેખાય. અમારી ઇકોનોમી એડજેસ્ટેબલ હોય. ટોપમોસ્ટ હોય. અમે તો પાણી વાપરીએ તોય કરકસરથી, એડજેસ્ટમેન્ટ લઈને વાપરીએ. અમારા પ્રાકૃત ગુણો સહજ ભાવે રહેલા હોય. (પા.૨૯૫)કરકસરમાં રસોડું અપવાદઘરમાં કરકસર કેવી હોવી જોઈએ ? બહાર ખરાબ ના દેખાય ને એવી કરકસર હોવી જોઈએ. કરકસરમાં રસોડામાં પેસવી ના જોઈએ. ઉદાર કરકસર હોવી જોઈએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઈ મહેમાન આવે તોય મન બગડી જાય કે ચોખા વપરાઈ જશે ! કોઈ બહુ લાફો હોય તેને અમે કહીએ કે ‘નોબલ’ કરકસર કરો. એ ભાવના એટલે રૌદ્રધ્યાનપ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં એક વાક્ય છે એ વિગતવાર સમજાવો કે પૈસા કમાવવાની ભાવના એટલે રૌદ્રધ્યાન. દાદાશ્રી : જે વસ્તુ એમ ને એમ મળી જવાની હોય એને મળવાની ભાવના કરવામાં શું ફાયદો ? પ્રશ્નકર્તા : પણ તો પછી કમાણીની ભાવના વગર એમ ને એમ મળી જાય ? દાદાશ્રી : કમાણી એમ ને એમ જ મળે છે. આ ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. એને ભ્રાંતિ છે ને એટલે હું કરું તો મળે, નહીં તો મળે નહીં કહેશે. પ્રશ્નકર્તા : અમે કારખાને ના જઈએ તો નુકસાની જાય છે. દાદાશ્રી : હા, પણ જે જાય તેનેય નુકસાની જાય છેને ? એટલે આ શું કહેવા માગે છે ? પૈસા કમાવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં પછી. એનો અર્થ એટલો કે હું ક્વોટા પડાવી લઉં એટલે પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વોટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દોને ! લોભનો અર્થ શું ? બીજાનું પડાવી લેવું. વળી કમાવાની ભાવના કરવાની જરૂર જ શો ? મરવાનું છે તેને મારવાની ભાવના કરવાની જરૂર શું ? એવું હું કહેવા માગું છું. આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય એવું હું કહેવા માગું છું, આ એક વાક્યમાં ! (પા.૨૯૬)એ બધું જ રૌદ્રધ્યાનપોતાને પૈસા આવતા હોય, સારી રીતે આવતા હોય, તોય છે તે પૈસાની પાછળ જ રાતદહાડો ધ્યાન કર્યા કરવું. એ રૌદ્રધ્યાન, કે ‘ભઈ, તારે આટલું બધું આવે છે તોય લોકોના ક્વોટા હઉ લઈ લેવા છે ? લોકોના ક્વોટા હોય છે તેમાંથી તારે લેવું છે ?’ એટલે લોભને રૌદ્રધ્યાન કહ્યું. શું કહ્યું ભગવાને ? કરોડો આવતા હોય તો આવવા દો પણ એની ઉપર ધ્યાન ના રાખ રાખ કરે. આમથી લઉં કે આમથી લઉં. એવાં હશે ખરાં આ દુનિયામાં ? પ્રશ્નકર્તા : હા, ઘણાય. દાદાશ્રી : તમે નહીં જોયેલા ? પ્રશ્નકર્તા : હોય છે. દાદાશ્રી : તમે જોયેલા ? પ્રશ્નકર્તા : જોયેલા છેને ! દાદાશ્રી : એ જ બીજું કંઈ નહીં, એ સિવાય કશું વહુ યે યાદ ના આવે એવા પુણ્યશાળી લોકો (!), એ રૌદ્રધ્યાન કહેવાય, એ નર્કગતિનું કારણ. પછી આપણને બોલાવે અને મૂડ બદલાઈ જાય ને ગુસ્સો આવી જાય એ નર્કગતિનું કારણ. સમજ પડીને ? એ રૌદ્રધ્યાન કહેવાય. પછી કોઈ જીવની હિંસા કરવી, કોઈને દુઃખ દઈએ, ત્રાસ આપીએ એ બધું રૌદ્રધ્યાન. લોભાચાર, અધોગતિનું કારણપ્રશ્નકર્તા : પૈસાનો બહુ લોભ હોય તો તિર્યંચમાં જવાય ? દાદાશ્રી : બીજું શું થાય તે ? લોભને લઈને જે આચાર થાય છેને, તે આચાર જ એને જાનવરગતિમાં લઈ જાય. લોભ બે પ્રકારના હોય છે. જે લોભથી આચાર ના બગડે અને લોભ હોય તો એ લોભ દેવગતિમાં લઈ જાય. એ ઊંચા પ્રકારનો લોભ કહેવાય. બાકી આ લોભથી તો બધા આચાર બગડી ગયેલા, તે પછી અધોગતિએ લઈ જાય ! (પા.૨૯૭)આઠ આના માટે આઠ કલાકઆ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઈ ગયા હોયને તેને માટે આઠ કલાકથી જો જો કરે, તપાસ કરતા હોય, એવાયે માણસો છે. અલ્યા ભઈ, શું કરે છે ? ત્યારે કહે, ‘મારા આઠ આના ખોવાઈ ગયા છે’, એ ખોવાઈ ગયા છે એને ખોળી તો કાઢવા જ પડશે જ ને ? ખોળે કે ના ખોળે ? એટલે સહુ સહુની સમજણ પ્રમાણે વાપરે. આ મનુષ્યદેહ મહાપરાણે મળ્યો છે, બહુ કીમતી દેહ છે પણ જેવી સમજણ હોય એવું વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરેને ? મર્યા પછી નાગ થયાલક્ષ્મી હોયને તે મેઇન્ટેનન્સ કરતાં વધારે પડતી હોય, તે વાપરતાં ના આવડે. તે ભેગી કર કર કરે. પહેલાં તો આટલી બધી લક્ષ્મી ભેગી કરતા હતા કે ચરુ દબાવતા હતા ને પછી પોતે નાગ થઈને ફર્યા કરે. કારણ કે રક્ષણ કરવાની ટેવ પડી ગયેલી, પોતે જ જાતે નાગ થયો છે. અમે લોભિયા બહુ જોયેલા. આખી જિંદગી આટલી પોતડી પહેરી અને ફર્યા કરે અને પાંચ હજાર રૂપિયા દાટી રાખ્યા હોય. ધનનું રક્ષણ તો જ્યારે જીવતા હતા ત્યારે કર્યું. એટલે મરી ગયા પછીયે ધનનું રક્ષણ કરવું પડે. તે પછી વીંછી થાય, નહીં તો આવડા મોટા ભમરા થાય. બધાનું સહિયારું ધન હોય તો બધા ભમરા થાય. બધા ભમરા થઈને મહીં ઘડામાં ભરાઈ રહે. કોઈ હાથ ઘાલવા જાય તો ભમરા કૈડી ખાય એને ! એટલે આ તો હિન્દુસ્તાન છે ! શું સારું ?પ્રશ્નકર્તા : આ જગતમાં પૈસાદાર થવું સારું કે સુદામા થવું સારું ? દાદાશ્રી : આ જગતમાં બહુ પૈસાદાર થવું એય જોખમ છે ને સુદામા થવું એય જોખમ છે. લક્ષ્મી તો આવે ને જાય એ સારું. લોભમાંય બીજા કોઈનેય નુકસાન ના કરે એવો લોભ હોય. અને (પા.૨૯૮)જગતમાં લોભી એ તો કેમ કરીને લોકોનું ધન મારી પાસે આવે, તે દેવોની બાધા રાખે કે ગમે તેમ કરીને આનું ધન મારી પાસે લાવી આપો. એવો લોભ ના હોવો જોઈએ. શું કામ લોભિયો થઈને ફર્યા કરે છે ? હોય તો ખાઈ-પીને મોજ કરને છાનોમનો ?! ભગવાનનું નામ દીધા કર ! આ તો કહે કે ‘આ ચાલીસ હજાર બેન્કમાં છે તે ક્યારેય કાઢવાના નથી. તે પાછો જાણે કે આ ક્રેડિટ જ રહેશે. ના, એ તો ડેબિટનું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે. આ નદીમાંય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જ્યારે આમની પાસે આવે તો એ આંતરી રાખે. નદીને જો ચેતના આવતને તો એય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઈ, પીને, ખિલાવી દેવાનું. અલ્યા, બેન્કમાં જમા શું કરે છે ? ખા-પી, બધા મહાત્માઓને બોલાવીને ભેલાડી દે. તેથી કબીરસાહેબે કહ્યું, ‘ચલતી વખતે હે નરો સંગ ન રહે બદામ.’ અને જેનું ગયા અવતારે મોઢું નહોતો જોતો, તેને મિલકત આપીને તું જવાનો છે. ‘હેં ! હું મોઢું નહોતો જોતો ?!’ ત્યારે કહે, ‘ગયા અવતારે તું મોઢું જોવાનું ના કહેતો હતો એ જ આ તારી પાસે છે, એને જ છાતીએ તું ઘાલ ઘાલ કરે છે ! તને શું ઓળખાણ પડે ?! અલ્યા, માર ખાય છે વગર કામનો ! જેમ માયા માર ખવડાવે છે ! ‘ખા-પી ને ભેલાડી દે !’ કહે છે. વહુનેય છેતરેએવું છે ને આપણા લોકો તો પૈસા ખાતર મોટા મોટા સાહેબને છેતરે છે અને આ અમદવાદના શેઠિયા તો બાઈસાહેબને છેતરે છે અને તે ખૂબ છેતરે છે. શેઠાણી જાત્રાએ જવા માટે વીસ હજાર રૂપિયા માંગતી હતી, તે શેઠ ચાર વર્ષ સુધી કહે કે મારી પાસે બેન્કમાં વીસ હજાર રૂપિયા આવ્યા જ નથી. હવે બેન્કમાં જુઓ તો પાંચ-પાંચ લાખ રૂપિયા પડ્યા રહેતા હતા. શેઠાણી વિશ્વાસુ બિચારી, જૂના જમાનાની, તે શેઠ કહે એમાં સાચું માને. આ તો શેઠાણીને છેતરે ! જેની જોડે રાતદહાડો રહેવાનું. વેપાર મહીં ભેગો, સોદો ભેગો, ત્યાંય પણ છેતરે ? હવે આને ક્યાં પહોંચી (પા.૨૯૯)વળાય તે ? શેઠાણી કહે, ‘મને વીસ હજાર આપો. મને જાત્રાએ જવા, હવે ત્યાં આપણી પાસે ના હોય તો એનું મન કચવાય. તે તો આપણી પાસે નથી એટલે કચવાય છે. પણ જે હોય એટલું તો આપી દઈએ આપણે. હોય એટલું આપવું જોઈએ કે ના આપવું જોઈએ ? બની શકે એટલું ‘એઝ ફાર એઝ પોસિબલ’ તમે શું કરો ? આ તો બેભાનપણું છે તદ્દન ! એકલા પૈસાની પાછળ જ પડ્યા છે લોકો ! પૈસા, પૈસા, પૈસા ! એ છે હિંસક ભાવપૈસા ભેગા ના કરાય. પરિગ્રહ કરે. પૈસા ભેગા કરવા એ હિંસા જ છે એટલે બીજાને દુઃખ દે છે. લોભમાંય હિંસકભાવ રહેલો છે. લોભમાં હિંસકભાવ શું રહ્યો છે કે આપણી પાસે પૈસા આવે તે બીજા પાસેથી ઓછા થઈને આવેને ? ક્રોધ-માન-માયા-લોભ એ બધાં હિંસક છે. કપટ કર્યું એ હિંસકભાવ નહીં ? પણ એનું બિચારાનું પડાવી લેવા હારુ કરો છો આવું ? એ બધા હિંસકભાવ છે. લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય, ને તને ત્રણ મૂકે ને પેલાને ચાર મૂકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા જાય ! લોભથી ઊભો થયો સંસારએક પણ સંયોગનો લોભ હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે છે, ત્યાં સુધી સંસારની રઝળપાટ ચાલુ રહે છે અને સંયોગોનો સ્વભાવ દુઃખદાયી છે. પણ સંયોગોનો લોભ છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે. છેવટે લોકોને કશાયનો લોભ ના હોય તો માનનો લોભ હોય. લોકોને લોભના માન કરતાં માનનો લોભ બહુ હોય, કારણ કે લોભનું માન નથી હોતું. એટલે માનનો લોભ બહુ હોય છે ! એ લોભ પણ હોય (પા.૩૦૦)છેવટે. અને લોભથી સંયોગ ઊભો થાય. સંયોગ ઊભો થાય એટલે સંસાર ઊભો થઈ જાય ! માનનો રક્ષક ક્રોધક્રોધ-માન-માયા-લોભ છે. આમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંયે માનને માટે પછી માયા થોડીઘણી વપરાય. કપટ કરીને પણ માન મેળવી લે. લોભિયો ક્રોધી હોય નહીં અને એ ક્રોધ કરે ત્યારે જાણવું કે આને લોભમાં કંઈ અડચણ આવી છે, જેથી ક્રોધ કરે છે. બાકી લોભિયાને તો ગાળો ભાંડે ને તોયે એ તો શું કહેશે કે, ‘આપણને તો રૂપિયો મળી ગયોને, છોને બૂમાબૂમ કરતો.’ લોભિયો એવો હોય. કારણ કે કપટ બધું રક્ષણ કરે જ. પ્રશ્નકર્તા : ક્રોધ શા માટે કરે ? દાદાશ્રી : ક્રોધ તો તો પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે. પ્રશ્નકર્તા : માયા એટલે કપટ એમ આપે કહ્યું, એટલે કપટની અંદર જ વિષયો છે ? દાદાશ્રી : ના, કપટની અંદર વિષયો એવું નથી, વિષયને ભોગવવા માટે હથિયાર વાપરે છે આ કપટનું ! તે વિષયને વધુ ભોગવવાની લાલચ એ લોભ અને એ લોભ કરતાં જો કદી વચ્ચે કોઈ આડો આવે ત્યાં કપટ કરી નાખે. લોભનો રક્ષક છે કપટ અને માનનો રક્ષક ક્રોધ. એટલે ક્રોધ ગુરખો છે માનનો અને પેલું કપટ ગુરખો છે, એ લોભનો ગુરખો છે. મૂળ તો બે જ જણ. પણ બે એમના ગુરખા ! આ તો માન ને લોભ એ બે રક્ષક હોય જ નહીં, તો રક્ષક ક્યાંથી રહે ? રખા-બખા સાથે બધું ચાલ્યું જાય. લોભ-માનની ખબર કેમની પડે ?પ્રશ્નકર્તા : લોભ થયો, તેમં જોવું ને જાણવું, એમાં ડિટેઇલ્સમાં કઈ (પા.૩૦૧)રીતે ઊતરવું ? દાદાશ્રી : એ તો કેવો લોભ થયો છે એ શું ખબર પડે ? અને લોભ છે કે ક્રોધ છે તે શી રીતે ખબર પડે ? તને લોભ છે એ કઈ રીતે ખબર પડે ? પ્રશ્નકર્તા : ધારો કે આપણે કંઈ વસ્તુ લઈએ અને પૈસા બચાવવાનો પ્રયત્ને કરીએ, એવી રીતે. દાદાશ્રી : ના, એ લોભ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો લોભ કોને કહેવાય ? દાદાશ્રી : લોભવાળો તો ખાય નહીં, પીએ નહીં, લૂગડાં પહેરે નહીં અને પૈસા ભેગા કર કર કરે એનું નામ લોભ. તું તો ખઉં છું, પીઉં છું ખરોને ? કપડાં-બપડાં પહેરું છુંને ? પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : પછી શો વાંધો. પ્રશ્નકર્તા : માન થયું, એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : આપણે આમ ‘જે જે’ કરીએ એટલે તરત એના મોંઢા ઉપર ખબર પડે. આ શરીર-બરીર ટાઈટ થયું કે તરત માલુમ પડે. અને પેલાએ ‘જે જે’ ના કર્યું તોય એને અસર થાય. ડિપ્રેશન આવી જાય, એ માન ખબર પડે તરત. અમને એવું તેવું ના થાય. માન ત્યાં લોભ નહીંલોભિયો એકાંગી હોય. માનની બહુ ભાંજગડ ના હોય અને માનીને તો જરા અપમાન કરે તોય પાછું વેષ થાય ! એ લોભિયો તો કહેશે કે આજ તો બસ્સો મલ્યા, છોને ગાળો દે. તમારામાં લોભ ખરો કે ? પ્રશ્નકર્તા : માન એ લોભ બંને ! (પા.૩૦૨)દાદાશ્રી : માન ને લોભ છે, તે સારું છે. માન ને લોભ હોય ત્યાં સુધી લોભિયા ના કહેવાય. લોભ તો માનને બાજુએ મૂકતો હોયને ત્યારે લોભ કહેવાય. લોભિયો તો કહેશે, ‘એને જે કહેવું હોય તે કહે, આપણને તો દસ મળી ગયાને !’ અને જૂઠુંયે બોલે, તદ્ન જૂઠું ! કારણ કે એને આ બધું લોભ કરાવડાવે છે, એની મહીંની લોભની ગાંઠો આ બધું કરાવડાવે છે. એટલે લોભિયાને જગતના લોકો શું કહે ? નફ્ફટ કહે. ત્યારે એ શું કહે, તું મને નફ્ફટ કહે, પણ મને તો દસ મળ્યા છે. હું મારી મેળે ઘેર જઈને સૂઈ જઈશ, તારા તો દસ ગયાને ! લોભિયો હસે. હમેશાં લોભિયો હસે અને ક્રોધી કોણ થાય ? જે સાચો હોય તે ક્રોધી થાય. લોભિયો તો હસે ઊલટો ! લોભી ભાસે જ્ઞાની સમકોઈ લોભિયો શેઠ હોય, એની દુકાને આપણે છોકરાને મોકલીએ કે જા, આ લઈ આવ. એ રડતું હોય ને આપણાથી જાતે ના જવાય એવું હોય, ત્યારે આપણે એને કહીએ કે, લે આ રૂપિયો તે પેલું લઈ આવ, જા. હવે આપણે જાણતા હોઈએ કે આઠ આનામાં આપે છે એ. હવે છોકરું લઈને આવ્યું, તે ચાર આના પાછું લાવ્યું. ‘અલ્યા બાર આના કોણે લીધા ?’ ત્યારે એ કહે, ‘પેલા શેઠે લીધા.’ ત્યારે આ ભાઈ શું બોલે ? ‘એ શું સમજે છે શેઠિયો ?’ આ તો પટેલ ભઈ, ગમે તેવું બોલે, જેને બોલવાનું કોઈ બંધન નહીં. પછી એ ઘેરથી ઊપડે દુકાને ‘અલ્યા, આ નાના છોકરાને તેં છેતરી લીધો ? આ આઠ આનાનું છે તેના બાર આના લીધા ?’ ત્યારે શેઠ કહે, ‘હવે પાછું ના લેવાય. એ તો ગયું એ ગયું. એટલે પેલા પટેલ વધારે ચિઢાયા એટલે લોક ભેગું થયું. ત્યારે પેલો શેઠ હસવા માંડ્યો. પટેલ ગાળો જેમ જેમ ભાંડે તેમ તેમ પેલો હસે. ‘તમે જુઠ્ઠા, લુચ્ચા, બધા પૈસા લઈ જાવ છો લોકોના.’ ત્યારે પેલો શેઠ આમ હસે, એટલે લોક શું જાણે કે આ શેઠ હસે છે અને આ વગર કામના કકળાટ કરે છે. એટલે આ આરોપી બન્યો, લોકોની દ્રષ્ટિમાં. લોભિયો હસે કે મને તો મારા ચાર આના મળી ગયા. એ છોને કકળાટ કરતો. એ કકળાટ કરે (પા.૩૦૩)છે, પણ એની મેળે થાકશે એટલે જતો રહેશે. પણ તે હસે ઊલટો ! એટલે મેં અહીં મુંબઈના બજારમાં હસે એવા જોયેલા હઉં. હવે ત્યાં કકળાટ કરીએ તો નકામું છે. અને માની માણસ હોયને, આપણે તેને કહીએ તો એ કહે, ‘લે તારા બાર આના પાછા લઈ જા. અહીં બોલબોલ ના કરીશ. લે તારા પૈસા ને લાવ એ રમકડું પાછું’ એટલે માની હોય તરત નિકાલ આવે અને આ તો ફરી હાથમાં આવે નહીં, એનું નામ લોભી. લોભી તો હસે ઊલટો. હસે એટલે આપણે જાણીએ કે જ્ઞાની જેવું હસે છે આ માણસ ! પ્રશ્નકર્તા : ઠંડક રાખીને વાત કરે. દાદાશ્રી : એમાં ઠંડક જ હોય. લોભ એકલા પૈસા ઉપર જ, બીજું નહીં. બન્ને પ્રકૃતિની ભિન્નતાહવે, શેઠાણી કહેશે કે સાંજે સાડી લાવવાની છે. ત્યારે પેલો શેઠ કહેશે, ‘આપણે છે એવી જ લઈ આવો, એથી આપણું બહાર ખોટું ના દેખાવું જોઈએ. લોકો પહેરે છે એવી આપણી સાડી જોઈએ.’ ત્યારે વહુ કહે, ‘એ તો ગરીબો છે.’ ત્યારે શેઠ કહે, ‘એ ગરીબ જેવી, એવી જ સાડી આપણને શોભે, નહીં તો આપણું ખોટું દેખાય અને આપણા ક્ષત્રિય લોકો તો વધારે પૈસા આવ્યા કે સાડી નવી જાતની, ત્રણ હજારની લઈ આવે ! સાડીઓ તો ત્રણ હજારની, પાંચ હજારની, સાત હજારની હઉ મેં જોઈ ! બૈરીની કિંમત કે સાડીની કિંમત ! કારણ કે જે કિંમતી માણસ હોય તે તો સાત હજારની પહેરે નહીં ઓછી કિંમતવાળા જ મોંઘી સાડીઓ પહેરે છે. બહુ એને રૂપાળું દેખાવું છેને ?! સાત હજારનીય સાડીઓ લોકો બનાવે છે. મને એક કારખાનામાં દેખાડવા લઈ ગયા હતા. પ્રશ્નકર્તા : હા એ તો આપણે બહુ વર્ષે ઉપર પૈઠણી સાડી જોવા ગયા હતા. અત્યારે તો એની કિંમત પંદર હજાર થાય ! દાદાશ્રી : આ શ્રીમંતોના ચેનચાળા જ છેને ? એના કરતાં ધન્યભાગ્ય (પા.૩૦૪)કે રૂપિયા આપે એટલે વપરાય અને અડચણ ના પડે. એના જેવો ધનવાન કોઈ નહીં. જરૂર પૂરતા રૂપિયા આવે ને જરૂર પૂરતા જાય. પછી અડચણ ના પડવી જોઈએ. એનું નામ ધનવાન. માની ને લોભીલોભિયો હોય એને માનતાનની કંઈ પડેલી ના હોય. કોઈ અપમાન કરે ને સો રૂપિયા આપી જાય તો કહેશે, આપણને સો રૂપિયા નફા સાથે કામ છેને, છો અપમાન કરશે તો ! એક ફેરો અપમાન કરી ગયો પણ આપણને ઘરમાં તો સો રૂપિયા નફાના આવ્યા ! એ લોભનું કારણ ! અને માનનું કારણ હોયને, તો એને પાંચસો રૂપિયા ખર્ચ થાય. પણ માન મળે તો બહુ થઈ ગયું, કહેશે. તે માન અને લોભને લઈને આ જગત ઊભું રહ્યું કે માન જ્યાં નહીં ત્યાં લોભ છે લોભ નહીં ત્યાં માન છે. ઉઘાડું દીવા જેવું છેને ?! કૃપાળુ દેવે લખ્યું છેને, આ જગતમાં માન ના હોત તો અહીં જ મોક્ષ થઈ જાય ! માન તો ભોળુંમાન છે ત્યાં સુધી લોભ ના કહેવાય, લોભ તો માનને બાજુએ મૂકે. લોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય. લોભિયો તો શું કરે ? અપમાન થતું હોય એ સહન કરી લે, પણ લોભમાં ખોટ ના જવા દે. અપમાન થતું હોય તે સહન કરે. મને નાનપણમાં, હું પચ્ચીસ વર્ષનો હતો અને કોઈ અપમાન કરે તો લોભની ખોટ બધી નાખી દેવા હું તૈયાર. નામ દીધું તો કહી દઉં, ‘તારી વાત તું જાણું, તારે જે જોઈતું હોય એ લઈ જા’, એટલે આ માનને માટે અને પેલાનું લોભને માટે, બસ એક ને એક ખૂણામાં બેસી ગયેલા હોય, પણ માનવાળો છૂટે. માનવાળાનું એવું ને કે, માનવાળાને સહુ કોઈ કહે કે શું છાતીઓ કાઢીને ફરો છો, આટલા બધા ?! માન ભોળું છે, માનનો સ્વભાવ ભોળો છે ને લોકોને ખબર પડે, ‘ઓહોહો, છાતી કાઢીને શું જોઈને ફરો છો ?!’ તે ઊલટા લોકો આવી ટકોર કરનારા મળે અને (પા.૩૦૫)લોભિયાની તો કોઈને ખબર ના પડે. અને પોતાને ય ખબર ના પડે કે આ દુકાન કઈ જાતની ચાલે છે, પોતાની જાગૃતિ જ નથી હોતી. પ્રશ્નકર્તા : લોભિયાને સહેજ જો ટર્ન કરી દઈએ તો ખૂબ પ્રગતિ કરી શકેને ? દાદાશ્રી : એ થવું મુશ્કેલ છે. માની ફરે, લોભી ફરવો મુશ્કેલ છે. લોભ તો બહુ મોટામાં મોટું આંધળાપણું છે. પોતાને, ધણીનેય ખબર ના પડે. અને માન તો ધણીને ખબર પડે, એટલે માન ભોળું છે ને લોભ ભોળો નથી. માનીની ગોઠવણી...માની હોયને તે માનની જ ગોઠવણી કર્યા કરતો હોય, આખો દહાડોય ! જ્યારે જગાડો ત્યારે માનની ગોઠવણી, એને અપમાન કેમ ના થાય, અપમાન કેમ ના થાય, એના ભયમાં જ એમાં ને એમાં જ તકેદારી રહે. આ વગર કામની માથે પીડા લઈને ફર્યા કરે ! માન ખાતાં છેતરાયઅમારે ઘેર તો ચાર ચાર ગાડીઓ પડી રહેતી, કારણ કે આવો પરગજુ માણસ કોણ મળે ? ‘આવો અંબાલાલભાઈ’ કહે એટલે ચાલ્યું ! આવા ભોળા માણસ કોણ મળે ? કશું બીજું ચા-પાણી નહીં કરો તોય ચાલશે. પણ ‘આવો પધારો’ કહ્યું કે બસ, બહુ થઈ ગયું ! જમવાનું નહીં કરે તોય ચાલશે. બે દહાડા ભૂખ્યો રહીશ, તારી ગાડીમાં આગલી સીટ પર મને બેસાડજે, પાછળ નહીં, એટલે પેલા લોકો આટલી સીટ રોકી જ રાખે. હવે આવું કરનારું કોણ મળે ? માની બિચારા ભોળા હોય, એક માનને ખાતર બિચારા બધી રીતે છેતરાય. રાતે બાર વાગ્યે ઘેર આવે ને કહે કે, ‘અંબાલાલભાઈ સાહેબ, છો કે ?’ ‘ભાઈ સાહેબ’ કહ્યું કે બહુ થઈ ગયું. એટલે માનીનો બીજા લોકો આવી રીતે લાભ ઊઠાવે ! પણ માનીને ફાયદો શો કરી આપે કે માનીને એવો ઊંચે ચઢાવે અને એને અફાળે કે ફરી માન બધું ભૂલી જાય. ઊંચે ચડ્યા પછી પડેને ? તે અમને રોજ ‘અંબાલાલભાઈ’ કહેતા હોય, અને (પા.૩૦૬)એક દહાડો ‘અંબાલાલ’ કહે તો કડવું ઝેર જેવું લાગે ! આ માનને લઈને બધું ગૂંચાય છે, પણ માન સારું. માની માણસ થાય એ સારો. કારણ કે માની માણસને એમાં બીજો રોગ ના હોય. ફક્ત એને માન આપો કે ખુશ અને લોભિયા માણસને તો પોતાનેય ખબર ના પડે કે મારામાં લોભ છે. માન અને ક્રોધ બે ભોળા સ્વભાવના છે. તે લગ્નમાં જાય ને ‘આવો પધારો’ કરે કે તરત જ ખબર પડી જાય. એને કોઈક કહેશે કે ‘શું કરવા છાતી કાઢો છો ?’ અને લોભિયાને તો કોઈ કહેનારોય ના મળે ! ત્યાં અસર, તો લોભલોભિયાની નિશાની શું ? આપણે પૂછીએ કે આ બે હીરા કોઈને આપ્યા પછી ના આવે તો તમને કશી અસર થાય ? ત્યારે કહેશે કે ‘એ તો થાય જ ને !’ આ અસર થઈ એ જ લોભની નિશાની. બે હીરા આપે તેમાં નથી હાથને વાગ્યું, નથી અપમાન કર્યું. અપમાન કર્યું હોય તો તો માનને ઘા કર્યો કહેવાય. આ તો એવી કશી લેવાદેવા વગર હીરા આપ્યા છે. કોઈક કહેશે કે, ‘એણે ગાળો ભાંડી અપમાન કર્યું હોય તે શી રીતે સહન થાય ?’ તો આપણે જાણીએ કે સંસારી છે એટલે સહન ના થાય, પણ હીરા આપ્યા એમાં નથી દેહને વાગ્યું કે નથી લોહી નીકળ્યું. તો આ શું પજવે છે ? આ લોભ નામનો ગુણ જ એને કૈડે છે, પજવે છે. આમ છેતરાયેલા માનથી જહું તો મૂળ માની સ્વભાવનો માણસ એટલે દુકાનમાં પેસું ત્યાંજ એ સમજી જાય કે અંબાલાલભાઈ આવ્યા છે. કંન્ટ્રાક્ટર ખરોને એટલે રોફવાળા ગણાય. અરે, તકિયા હઉ મૂકી આપે ! ફલાણું મૂકી આપે, ‘શું કહો, શું ગમશે ?’ કહેશે. ત્યારે મેં કહ્યું, ‘એક જોટો ધોતિયાનો અને બે-ત્રણ ખમીસનું કપડું લેવાનો વિચાર થયો એટલે આવ્યો છું’, એટલે કાઢી આપે. તરત બિલ ફાડી આપે, ‘સાહેબ, પૈસા નહીં હોય તો ઘેરથી આવીને લઈ જશે.’ મેં કહ્યું, ‘ના, છે મારી પાસે અત્યારે.’ તે આપણે પૈસા આપી દઈએ ને પૈસા ના હોય તો કહી દઈએ કે ઘરેથી લઈ જજો. (પા.૩૦૭)પણ હું જાણું કે આ ત્રણ રૂપિયા એણે જોટાના વધારે લીધા. પંદર રૂપિયાનો જોટો, પણ મારી પાસેથી ત્રણ રૂપિયા વધારે લીધા, કારણ કે અમથા બધા આ તકિયા ને બધું આપતા હશે ?! એટલે હું જાણું કે આ બિચારાનો એનો સ્વભાવ જ એવો છે. તો હું એની જોડે કચકચ ક્યાં કરું કે, ‘આટલા બધા અઢાર રૂપિયા હોય ? આમ છે - તેમ છે ?’ હવે ત્યાં કચકચ કરનારો હોય તેને એ પંદર આપે. હું કચકચ ના કરું એટલે અઢાર રૂપિયા લે. આ લોકોના નિયમ કેટલા સુંદર (!) છે ! આ તો બહુ સારા લોકો ! ફોરેનમાં આવા લોકો ના હોય. આ તો આપણું ઇન્ડિયન પઝલ કહેવાય. આ પઝલ એવું છે કે કોઈ સોલ્વ ના કરી શકે. એનું નામ ઇન્ડિયન પઝલ કહેવાય. ‘અલ્યા, સારા માણસ પાસેથી વધારે લેવાના ? ત્યારે કહે, ‘હા, બાકી નબળો માણસ તો વધારે આપે જ નહીંને !! હવે સારા માણસને લૂંટે નહીં, તો કોને લૂંટવા જોઈએ ?! અને લૂંટીનેય શું લઈ જવાના છે ? ત્રણ રૂપિયા. એટલા હારુ તો બેસો સાહેબ, બેસો સાહેબ, ચા મંગાવું કર્યા કરે. ત્યારે મેં કહ્યું, ‘હવે ચા પીવાની છોડી દીધી.’ પીતો હઉં તોય કહું કે છોડી દીધી છે. પણ હું છેતરાયેલો આખી જિંદગી. છેતરા છેતરા કરું. કોઈ બસ્સો રૂપિયા છેતરે, કોઈ પાંચસો રૂપિયા છેતરે. મારી આખી જિંદગી છેતરે એવો કોઈ મને મળ્યો નથી. છેતરવાની કંઈ હદ હોય છે. બાઉન્ડ્રી હોય છે. માટે છેતરાવાનો આપણે નિયમ જ લેવો જોઈએ. જાણીને છેતરાય તે મોક્ષે જાયતમે સારા માણસ છો ને તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. એનું તો ‘સાપને ઘેર સાપ ગયો ને જીભ ચાટીને પાછો આવે’ એવું ! છેતરાય તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને ! આપણને ‘આવો-પધારો’ કહે તો એનું પ્રિપેમેન્ટ હોય છે. એટલે ‘લોભિયાથી છેતરાય’ એમ લખ્યું છે. કારણ કે છેતરાઈને મારે મોક્ષે જવું છે. હું અહીં આગળ પૈસા ભેગાં કરવા નથી આવ્યો અને (પા.૩૦૮)હું એમેય જાણું છું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? એ હું જાણનારો છું એટલે વાંધો નહીં. હું ઓળખું કે આ માની છે એટલે એને માન આપી અને આપણે આપણું કામ કાઢી લેવાનું. અને લોભિયો હોય ત્યાં છેતરાવાનું થોડીવાર. એ આપણને છેતરે એટલે એ જાણે કે આપણું કામ થઈ ગયું. પણ આપણે તો ‘મને આ ધર્મ કરવા દે છે કે નહીં ?’ એટલું જ જોવાનું, નહીં તો લોભિયાથી છેતરાય નહીં તો લોભિયો ધર્મ કરવા દે નહીં. લોભિયાથી છેતરાયો એનું નામ જ ઊંચામાં ઊંચો માણસ. ત્યારે આપણા લોક શું કહે ? ‘એ મને છેતરી ગયો નથી. એનું શું ગજું છે ?’ અલ્યા એનો છેતરવાનો ધંધો છે. એનો ધંધો કરવા દેને, ધંધો ચાલવા દેને ! તમારો ધંધો ક્યાં છેતરવાનો છે ? એના બિઝનેસને કંઈક હેલ્પ તો કરવી જ જોઈએને ? એનો બિઝનેસ ચાલતો હોય તેમાં હેલ્પ કરવી જોઈએ કે ના કરવી જોઈએ ? પ્રશ્નકર્તા : હા, હેલ્પ થવા દો. દાદાશ્રી : એ બિઝનેસ એને કરવા દે, હા. નહીં તો આપણને કોચ કોચ કર્યા કરશે. હું ભોળપણથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણીને છેતરાય એ ભોળા હોય ? આમ થયા ભગવાનપ્રશ્નકર્તા : કબીરજી કહે છે, કબીર આપ ઠગાઈએ ઔર ઠગે ન કોઈ આપ ઠગે સુખ ઉપજે, ઔર ઠગે દુઃખ હોઈ. આ સિદ્ધાંત વાસ્તવિક રીતે કોઈ દુનિયાદારીને ગમતો નથી, તો એ યથાર્થ શું છે ? (પા.૩૦૯)દાદાશ્રી : આ વાણી સાચી છે. આખી જિંદગી સુધી અમે આ જ ધંધો માંડેલો. છેતરાઈને ભગવાન થયા છીએ. જુઓને આ અમે છેતરાઈને ભગવાન થયા. આ લોકોની જોડે છેતરા છેતરા કર્યા અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું બા ! નહીં તો આપણે પાંચ હજાર રૂપિયા આપોને તોય કોઈ છેતરે નહીં. હું તમને પાંચ હજાર રૂપિયા આપું તોય તમે છેતરો નહીં. કહેશે હું આ જોખમદારી શું કરવા લઉં અને આ મૂરખા એમ ને એમ જોખમદારી લે છે, કોણ લે ? ફૂલિશ લોકો. ‘અમે’ ભોળા ?અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, તમારા ભોળાપણનો લોકો લાભ ઉઠાવી જાય છે. ત્યારે મેં કહ્યું કે તમે મને ભોળા કહો છો માટે તમે જ ભોળા છો. ‘હું સમજીને છેતરાઉં છું.’ ત્યારે એમણે કહ્યું કે હું આવું ફરી નહીં બોલું. હું જાણું કે આ બિચારાની મતિ આવી છે. એની દાનત આવી છે. માટે એને જવા દો. લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મજા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ? પ્રશ્નકર્તા : હોય જ નહીં. દાદાશ્રી : નાનપણથી મારે પ્રિન્સિપલ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી. આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ પર ગયું. મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. જજો હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય. એટલે સમજીને છેતરાવાનું છે, પણ એ કોની જોડે સમજીને છેતરાવાનું છે ? રોજનો જ વ્યવહાર જેની જોડે હોય એની જોડે અને બહાર કોઈની જોડે છેતરાવાનું, પણ સમજીને. પેલો જાણે કે મેં આમને (પા.૩૧૦)છેતર્યા અને આપણે જાણીએ કે એ મૂરખ બન્યો. ત્યારે પ્રગટ્યું આ અક્રમ વિજ્ઞાનતેથી કવિરાજે શું લખ્યું છે કે, ‘માનીને માન આપી, લોભિયાથી છેતરાય સર્વનો અહમ્ પોષી, વીતરાગ ચાલી જાય.’ અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય. એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છુટકારો થઈ ગયોને ! નહીં તોય રૂપિયા કાંઈ ઠેઠ આવવાના છે ?! એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દોને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે, એટલે છેતરાવા દોને ! અને એ છેતરવા આવ્યો છે, તેને કંઈ આપણાથી ના કહેવાય છે ? છેતરવા આવ્યા તેનું મોઢું શું કરવા દબાવીએ ? અમે તો માંકણનેય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટેલ એવી છે કે આ હોટેલમાં કોઈનેય દુઃખ આપવાનું નહીં. એ અમારો ધંધો ! એટલે માંકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવિહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી એ બધું કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું ! ને ત્યારે જો પ્રગટ થયું, આખું ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું ! જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું આ વિજ્ઞાન પ્રગટ થયું છે ! એનું રહસ્ય જ્ઞાનપ્રશ્નકર્તા : આપ તો સમજીને છેતરાયા, પણ પેલો ધોતિયાના પૈસા વધારે લઈ ગયો એમાં એની શી દશા થાય ? એને લાભ કે ગેરલાભ ? દાદાશ્રી : એનું જે થવાનું હોય તે થાય. એણે મારી શિખામણથી આ નથી કર્યું. અમે તો એની વૃત્તિ પોષી છે. હક્કનું ખાવા આવ્યું તો ભલે અને અણહક્કનું ખાવા આવ્યું તો પણ અમે લાપોટ નથી મારી, ખાઈ જા બા ! એનો એને તો ગેરલાભ જ થાયને ! એણે તો અણહક્કનું લીધું એટલે તેને ગેરલાભ થાય, પણ અમારો મોક્ષ ખુલ્લો થયોને ! ‘સર્વનો (પા.૩૧૧)અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.’ આ અહમ્ ના પોષીએ તો લોકો આપણને આગળ જવા જ ના દે ! ‘અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું’ એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દેને ! એ તો ‘તેં મારું કશું ધોળ્યું નહીં’ કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહેજાસહેજ મળતો હોય તો સારી વાત છે. નહીં તો માબાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ માબાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય ! સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ? પ્રશ્નકર્તા : ના હોય. દાદાશ્રી : ત્યારે એમને મોક્ષનો માર્ગ પણ મળી આવેને ! પ્રશ્નકર્તા : સામાને છેતરવાનો ચાન્સ આપે છે એ ખોટું નહીં ? દાદાશ્રી : આ તો પોતાના એડવાન્સ માટે છેને ! છેતરવાનો ચાન્સ એના એડવાન્સ માટે છેને આપણે આપણા એડવાન્સ માટે છેતરાવાનો ચાન્સ છે. પેલો એની પૌદ્ગલિક પ્રગતિ કરે ને આપણે આત્માની પ્રગતિ કરીએ, એમાં ખોટું શું છે ? એને આંતરે ત્યારે ખોટું કહેવાય. આપણને છેતરી ગયો, પણ પાછો કોઈ માથાનો મળે તે એને મારી મારીને એનાં છોડાં કાઢી નાખે કે ‘અલ્યા, તું મને છેતરે છે ?’ એવું કહીને પેલાને મારે ! પહેલેથી હું તો જાણી જોઈને છેતરાતો, એટલે લોક મને શું કહેતા કે ‘આ છેતરનારને ટેવ પડી જશે, એની જોખમદારી કોના માથે જાય ? તમે આ લોકોને જતા કરો છો તેથી બહારવટિયા ઊભા થયા છે.’ પછી મારે એને ખુલાસો આપવો જ પડેને ! અને ખુલાસો પદ્ધતિસર હોવો જોઈએ. એમ કંઈ મારી-ઠોકીને ખુલાસો અપાય ? પછી મેં કહ્યું કે ‘તમારી વાત સાચી છે કે મારે લીધે બહારવટિયા જેવા અમુક માણસો થયા છે, તેય બધા માણસો નહીં, બે-પાંચ માણસો. કારણ કે એમને એન્કરેજમેન્ટ મળ્યું ને !’ પછી મેં કહ્યું કે ‘મારી વાત જરા સ્થિરતાથી સાંભળો. મેં પેલાને એક ધોલ મારી હોય, જે મને છેતરી ગયો તેને, તો અમે તો દયાળુ માણસ તે ધોલ કેવી મારીએ, એ તમને સમજમાં આવે છે ? પેલા ખુલાસા (પા.૩૧૨)માંગનારને મેં પૂછ્યું, ત્યારે પેલો કહે કે, કેવી મારે ?’ ત્યારે મેં કહ્યું, પોલી મારે, એનાથી એન્કરેજમેન્ટ વધારે થાય કે ઓહોહો, બહુ ત્યારે આટલીક જ ધોલ મારશે ને ? તો હવે આ જ કરવા દે. માટે દયાળુ માણસ છોડી દે એ જ બરોબર છે. પછી પેલાને આમ છેતરતાં છેતરતાં બીજું, ત્રીજું સ્ટેશન આવશે, એમાં કોઈ એકાદ એવો એને ભેગો થઈ જશે કે એને મારી મારીને ફુરચા કાઢી નાખશે, તે ફરી આખી જિંદગી ખોડ ભૂલી જશે. એને છેતરવાની ટેવ પડી છે એ પેલો એની ટેવ ભાંગી આપશે, બરોબરનું માથું ફોડી નાખે. તમને સમજાયુંને ? ખુલાસો બરોબર છેને ? પણ આ જ્ઞાન પછી તો અમારે એ બધા સંગ જ છૂટી ગયેલાને. આમેય ’46 પછી વૈરાગ આવી ગયેલો ને ’૫૮માં આ જ્ઞાન પ્રગટ થયું ! જાણીને છેતરાવાનું એ બહુ મોટામાં મોટું પુણ્ય, અજાણથી તો સહુ કોઈ છેતરાયેલા. પણ અમે તો આખી જિંદગી આ જ ધંધો માંડેલો, કે જાણીને છેતરાવું. સરસ બિઝનેસ છેને ? છેતરનાર મળે એટલે જાણવું કે આપણે બહુ પુણ્યશાળી છીએ. નહીં તો છેતરનાર મળે નહીંને ! આ હિન્દુસ્તાન દેશ એમાં બધા કંઈ પાપી લોકો છે ? તમે કહો કે મને તમે છેતરો જોઈએ, તો આ જોખમદારીમાં હું ક્યાં હાથ ઘાલું ? અને જાણીને છેતરાવા જેવી કોઈ કલા નથી ! લોકોને તો ગમે નહીંને આવી વાત ? લોકોનો કાયદો ના પાડે છેને ? તેથી તો છેતરવાની આદત પાડે છેને ? ‘ટિટ ફોર ટેટ’ એવું શીખવાડે છે ને ? પણ આપણાથી શું ધોલ મરાય ? અને હું ધોલ મારું તો પોલી મારું. એક જગ્યાએ હું ઉઘરાણી કરવા ગયો હતો, ત્યારે એને ત્યાં બીજા કોઈની જપ્તી આવેલી. હું તો થોડીવાર બેઠો, તે પેલાને જપ્તીમાં કંઈક વીસ રૂપિયા ભરવાના હશે, તેટલા રૂપિયા પણ તેની પાસે ન હતા. બિચારો આમ આંખમાંથી પાણી કાઢવા માંડ્યો ત્યારે મેં કહ્યું કે ‘લે વીસ હું આપું છું.’ તે વીસ રૂપિયા આપીને આવ્યો ! તે ઉઘરાણીએ ગયેલો કોઈ વીસ રૂપિયા આપીને આવતો હશે ? એનું ફળ તો સમજોસમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. અને આખી જિંદગી હું જાણી જોઈને, છેતરાયેલો છું. લોકો કહે છે, ‘એનું ફળ શું ?’ ત્યારે મેં કહ્યું, ‘જાણીને છેતરાય એને શું પદ મળે ? કે દિલ્હીમાં જે કોર્ટ હોય (પા.૩૧૩)છેને, સુપ્રીમ કોર્ટ, તે સુપ્રીમ કોર્ટના જજને ય ટૈડકાવે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.’ એટલે શું ? કે જજનીય ભૂલો કાઢે એવું હાઈ ક્લાસ પાવરફૂલ મગજ થઈ જાય ! કાયદામાં લઈ લે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણી જોઈને છેતરાય છે, જે કોઈને છેતરતો નથી એનું મગજ એવું હાઈ લેવલ પર જાય ! પણ એવું જાણી જોઈને છેતરાય કોણ ? એવો કયો પુણ્યશાળી હોય ? અને આ સમજણ જ શી રીતે એડોપ્ટ થાય ? આ સમજણ જ કોણ આપે ? છેતરવાની સમજણ આપે, પણ આ જાણીને છેતરાવાની સમજણ કોણ આપે ? નક્કી કરવા જેવો ધ્યેયઅહીં તો છેતરાવા જેવી કશી વસ્તુ જ નથી, પણ છેતરાઈને આવે તો બહુ ઉત્તમ ! પણ એને આની કિંમત શી આવશે, એની સમજણ જ નથીને ! છેતરાઈને આવવાની કિંમત આટલી બધી આવે એવું જાણે લોકો ? પ્રશ્નકર્તા : લોકો જાણે જ નહીંને ! દાદાશ્રી : પણ અમે તો નાનપણથી છેતરાવાની સિસ્ટમ રાખેલી. અમારા માજીએ (ઝવેરબાએ) શિખવાડેલી. એ પોતે પણ જાણીને છેતરાય, ને બધાંને સંતોષ આપે. મને એ બહુ ગમેલું કે આ તો બધાંને સંતોષ બહુ સરસ આપે છે ! અને છેતરાઈને શુંયે મૂડી હતી તે જતી રહેવાની છે ?! મૂડીમાં શી ખોટ જતી રહેવાની છે ? પ્રશ્નકર્તા : હજુ સમજીને છેતરાવાની હિંમત નથી આવતી. દાદાશ્રી : છેતરાવાની હિંમત ? અરે, મને તો જરાય વાર લાગે નહીં અને મને છેતરવા આવે એટલે હું સમજી જાઉં કે આ છેતરવા આવ્યો છે, માટે આપણે છેતરાઈ જાવ, ફરી આવો ઘરાક મળવાનો નથી. ફરી આવો ઘરાક ક્યાંથી મળે ? ને જો તારી હિંમત જ નથી ચાલતી ને !? પ્રશ્નકર્તા : આ વેપારમાં શું થાય છે કે આપણને ખબર છે, કે આ માલની માર્કેટ પ્રાઈઝ આ છે. પેલો માણસ એક ટને હજાર રૂપિયા વધારે ચાર્જ કરે છે, તે એમ સમજીને એક હજાર રૂપિયા વધારે આપતાં હિંમત (પા.૩૧૪)થાય નહીં, એટલે પછી પેલાને કહેવાઈ જાય કે, ‘નહીં, આ પ્રાઈઝ તો હોવી જ જોઈએ.’ એની જોડે પહેલાં થોડું ઘણું બોલવું પડે. દાદાશ્રી : સમજીને આપવા એ તો એવું છે ને કે અમે જાણી જોઈને છેતરાઈએ છીએ એ તો અપવાદ છે અને અપવાદ એ કોઈક ફેરો જ હોય. બાકી, લોકો જાણી જોઈને છેતરાય છે તે તો શરમના માર્યા અગર તો બીજા અંદરના કોઈ કારણના માર્યા છેતરાય છે. બાકી લોકોને જાણી જોઈને છેતરાવું એવો ધ્યેય ના હોય, જ્યારે અમારો તો ધ્યેય હતો એ કે જાણી જોઈને છેતરાવું. બીજે વિચારદશામાં જ વિરમી ગઈતને આ બધો સંસાર ગમે છે ? શી રીતે ગમે તે ? હું તો આ બધું જોઈને જ કંટાળી ગયેલો ! અરેરે, કઈ જગ્યાએ સુખ માન્યું છે આ લોકોએ ! અને શી રીતે માન્યું છે સુખ આ ?! વિચાર્યું જ નથીને ! જ્યાં કશું બને છે એમાં કશો વિચાર જ નથી કર્યો ! આ સંબંધી વિચાર જ કશો કોઈ જાતનો નહીં ? ત્યારે વિચાર તો આખો દહાડો પૈસામાં ને પૈસામાં કે કેવી રીતે પૈસા મળે, અને નહીં તો વહુ પિયર ગઈ હોય તો એ વિચાર આવ્યા કરે કે આજે એક કાગળ લખું કે જલદી આવી જાય ! બસ, આ જ બે વિચાર. બીજો કશો વિચાર જ નહીં ! એટલે પાશવતાના વિચાર કે કોનું લઈ લઉં ને ક્યાંથી ભેગું કરું ?! અલ્યા, આ તો ફ્રી ઑફ કોસ્ટ છે, એને શું કરવા માથાકૂટ કરે છે ? આ તો હિસાબ તારો નક્કી થઈ ગયેલો છે કે તને આટલા પૈસા આવશે. આ પેશન્ટ આટલા પૈસા આપશે અને આ પેશન્ટ એક આનોય નહીં આપે ! વિશ્વાસઘાત છતાં રહ્યા વિશ્વાસુએટલે આપણે તો છેતરાઈને આગળ જવું. સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. મનુષ્યજાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે. દસ જણાના વિશ્વાસઘાત થાય તો બધાંને છોડી દેવા ? ના છોડી દેવાય. આપણા લોક તો શું કરે છે ? બે-પાંચ ભાઈબંધોએ દગો દીધો હોય તો ‘આ બધા દગાખોર છે, બધા દગાખોર છે’ કહેશે. અલ્યા ના બોલાય. આ તો આપણી હિન્દુસ્તાનની પ્રજા, આમ આડવંશ (પા.૩૧૫)દેખાય છે આવી, પણ પરમાત્મા જેવા છે ! ભલેને સંજોગોને લીધે આવી દશા થઈ છે, પણ મારું જ્ઞાન આપું તો એક કલાકમાં તો કેવા થઈ જાય છે ! એટલે પરમાત્મા જેવા છે. પણ એમને સંજોગ બાઝ્યો નથી. એ કામનું નહીંએટલે સમજીને છેતરાવું એ પ્રગતિ આપે છે અને અણસમજણથી છેતરાવું એમાં લાભ નથી, એમાં છેતરનાર માર ખાય છે. આ આદિવાસીને શેઠિયાઓ શું કરે છે ? શેઠિયા વેપારી હોય અને એ આદિવાસી જોડે બુદ્ધિનો દુરુપયોગ કરે કે ના કરે ? પોતાની વધારે બુદ્ધિથી પેલા ઓછી બુદ્ધિવાળાને છેતરે ! તેમાં આદિવાસી તો એનો જે હિસાબ બનવાનો હોય તે બની ગયો, પણ પેલો વેપારી તો ફરી આદિવાસી થાય નહીં, પણ જાનવરપણું આવે, એટલે લોકો પોતે પોતાની જાતને છેતરી રહ્યા છેને ! બીજા કોઈને છેતરી શકે નહીંને ! એમાં ઉપયોગ ન બગાડ્યોપ્રશ્નકર્તા : આપે આપ્તવાણીમાં લખ્યું છે કે બેન્કમાં ગયા ને રૂપિયા કઢાવ્યા તો વળી ગણીને એમાં ઉપયોગ બગાડવાની જરૂર શી ? જે આપે એ ખિસ્સામાં મૂકી દેવાના. દાદાશ્રી : એવું છેને, હું વ્યવહારમાં ધંધો કરતો’તોને, ત્યારે રૂપિયા-રૂપિયાની નોટોની થોકડીઓ આપે, અગર તો પાંચ-પાંચની નોટોની થોકડીઓ આપે, એને ગણવા જઉં તો મારો ટાઈમ કેટલો બધો વેસ્ટ થાય ? બહુ ઝડપી મારું મશીન તો, મિનિટમાં ત્રણ હજાર રિવોલ્યુશન ફરે એવું મશીન ! હવે આ પાંચસો રિવોલ્યુશન શી રીતે સંધાય ? તોડી નાખે એ તો, એટલે બે-પાંચ નોટો ઓછી હશે, પચ્ચીસ રૂપિયા ઓછા હશે. બનતા સુધી ઓછા હોય જ નહીં, એવું આપણે જાણીએ. અને બહુ ત્યારે પચ્ચીસ ઓછા હશે. વધારે તો આવવાના જ નહીં પણ વગર કામનું બે રૂપિયા માટે ત્રણ-ત્રણ વખત ગણે લોકો ! સો રૂપિયામાં બે રૂપિયાની ભૂલ થાય ને, તો ત્રણ વખત ગણે. અલ્યા, વખત તો જુઓ ! અરે પરચૂરણ હોય ને આઠ આના ઓછા થતા હોય તો સો રૂપિયા ફરી ગણે. હું આવું બધું ગણું નહીં. હું તો ઓછું-વધતું લઈ લઉં. (પા.૩૧૬)શીખવાડ્યો, આમ વ્યવહારપ્રશ્નકર્તા : તો દાદા આ ભાઈએ પૈસા આપ્યા, તો અહીં પૈસા ગણવાનું કેમ કહો છો ? દાદાશ્રી : આને ગણવાનું કહ્યું એનું શું કારણ ? કે તમારી ટેવ જુદી છે, મારી ટેવ જુદી છે. હું કોઈને માટે કશો વિચાર કરું એવો નથી. એમ માનો કે તમે છે તે એક હજાર રૂપિયા આ ભાઈને આપ્યા. એ ભાઈ વળી કોઈને કહે છે કે ઝાલજે, હું આવું છું પેલાએ સો કાઢી લીધા વચ્ચે. હવે એ ભાઈએ ગણ્યા નથી. એ ભાઈ મને આપે કે આ હજાર હું પાછો આ સાહેબને આપું કે હજાર લો. તો આ સાહેબ કહેશે કે સો ઓછા છે. કોણે લીધા હશે ? હવે કેટલા માણસને દુઃખદાયી થઈ પડે ? અને શંકા કોની પર રાખવી ? બીજું કશું નહીં, શંકા ઊભી થાય. એટલા હારુ આ બધાને કહી દઉં. મારી પાસેથી આપું તોયે કહું કે ગણીને લેવા. પછી મારી શંકા ના આવવી જોઈએ કે દાદાએ ઓછા આપ્યા. કાયદો સારો કે ખોટો ? પ્રશ્નકર્તા : સારો. દાદાશ્રી : અને હું ગણ્યા વગર લઉં તે મારે સ્થિરતા હોય છે. મને કોઈના ઉપર શંકા આવે જ નહીં. મારી જબરજસ્ત સ્થિરતા. એ બાબતમાં શંકા રાખું જ નહીં. વિચારું જ નહીં. આ બાબત ગૉન કોઈ પણ રસ્તે, બીજે રસ્તે ગયું’તું. આ ન્હોય, આપનારે લીધું નથી. એટલે આ બધાને કહેલું કે ગણો. નહીં તો પછી તમારે તો વિચારમાં આવશે કે આ શું થયું ? પ્રશ્નકર્તા : આ તો એક વાક્ય દાદા આવું બોલે છે અને બીજું વાક્ય આવું કેમ કહેતા હતા એટલે આ પ્રશ્ન પૂછ્યો. દાદાશ્રી : એવું છેને, મારી દરેક બાબતમાં સ્થિરતા હોય અને તમારી સ્થિરતા હજુ ઉત્પન્ન થઈ નથી. ત્યાં સુધી ચેતજો. અને આ શીખવાડું છું કે સ્થિરતા કઈ રીતે કરાય અને છોડી જ દેવાનું, ભાંજગડ જ નહીં કરવાની. ગુણાકાર કરવાથી કશું વળતું નથી ને નકામા આરોપ જાય છે. સતી ઉપર શંકા થઈ તો રહ્યું શું તે ? વચ્ચે સારા (પા.૩૧૭)માણસ હોય ને શંકા જાય તો શું રહ્યું આપણું ? અને એ જ માણસ માટે, એને હોટેલમાં લઈ જવાનો હોય તો બસ્સો રૂપિયા ખર્ચીએ અને સો રૂપિયા માટે શંકા કરીએ. કેટલી બધી ભૂલ કહેવાય ? હું ના કરું આવી ભૂલ, મેં નથી કરી જિંદગીમાં આવી ભૂલ. પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં તો આવું બધું ઘણું થતું હોય છે. દાદાશ્રી : એ જ હું આ વ્યવહાર નવો શીખવાડું છુંને. આ બધા હું વ્યવહાર જ શીખવું છું. ખોટ ખાઈને વ્યવહાર દિપાવ્યોહું તો સોળ વર્ષનો હતો ને તોય લોકો શું કહેશે ? હું વડોદરા આવુંને તો મારું આ ગંજીફરાક લાવજો. કોઈ કહેશે મારી આ ટોપી લઈ આવજો, આટલા નંબરની. પણ હું જે લાવુંને, બાર આનાનું ગંજીફરાક લાવ્યો હોઉં, તે બે આના ઓછા લઈ, મેં કહ્યું કે, આપણે છેતરાયા હોય અને આપણે માથે આરોપ આવે કે બીજી જગ્યાએ દસ આને મળતું’તું. હવે બે આના છેતરાયા હોય, તોય લોકો કહેશે, બે આના ખાઈ ગયા. એના કરતાં આપણે બે આના ઓછા લઈ લો, પહેલેથી આવું ચેતીને ચાલું. કારણ કે પેલો આરોપ આપે એ ગમે નહીં. એના મનમાં શંકા પડે તેય ગમે નહીં. શંકા પડે એટલે પ્રેમ તૂટી ગયોને. પ્રેમ જતો રહે. હું તે દહાડેય બે આના ઓછા લઉં. લોકો પાછા મારી જોડેવાળા કહે, ‘કેવા માણસ છો તે, આવું હોય ? આપણે સાચા છીએ, બાર આનાના બાર આના લેવામાં વાંધો શું હતો ?’ ત્યારે મેં કહ્યું, ‘ના, બા. કારણ કે બીજી જગ્યાએ આપણે છેતરાયા હોઈએ. હું તો ભલો માણસ.’ પેલો કહે એટલે લઈ લઈએ. ખટપટિયો હોય તો વાંધો નહીં. આપણને તો ખટપટ આવડે નહીં. સામાને રાજી થવા દીધામારે તો આ ધોતિયાનો જોટો લેવા જઉંને, તો દરેક દુકાનદારે બબ્બે રૂપિયા વધારે લીધા હોય. ‘અંબાલાલભાઈ આવ્યા, અંબાલાલભાઈ આવ્યા.’ એવું કહે અને આપુંય ખરો. દાનત જ જ્યારે બે રૂપિયા (પા.૩૧૮)પડાવવાની છે તેથી રાજી થતો હોય તો શું વાંધો છે ? એનું મન ભિખારી છે. મારું મન તો ભિખારી નથી થયું ને બે રૂપિયા માટે ? એવો સ્વભાવ આ તો જાય નહીં. સ્વભાવ પડેલા મને તો ના ફાવે આવું. હું તો પહેલેથી ગણતરીબાજ માણસ એટલે મને આ ફાવે નહીં. બીજાની મુશ્કેલી નિવારવાનો ધંધોમેં આખી જિંદગી ધંધો કરેલો પણ ધંધાનો વિચાર મેં નથી કર્યો કોઈ દહાડો ! જે કોઈ ઘેર આવ્યોને, તેની જ વાત, કે ભઈ, તમારે કેમનું ચાલે છે, તમારે કેમનું ચાલે છે. પેલો કહેશે, ‘મારે નોકરી જતી રહી.’ તો હું કહું કે સવારે ચિઠ્ઠી લખી આપું. ગાડું રાગે પાડી આપું. મારા ધંધા સંબંધી વાત નથી કરી. પ્રશ્નકર્તા : ધંધા સંબંધી વાત નથી કરી છતાં ધંધો ચાલ્યો પાછો. દાદાશ્રી : એ ચાલ્યા કરે. આ તમારી શી અડચણ છે, એ સાંભળવાની ટેવ, બહુ જાતના વેષ જોયા બધા. ઉપલકના પૈસાપ્રશ્નકર્તા : ધંધામાં લોકો ઉપલક પૈસા શા માટે કાઢે છે ? દાદાશ્રી : અરે હું જ લેતો’તોને, ભઈ, મારી પાસે એવા બે-ત્રણ લાખ રૂપિયા હતા. બેતાળીસની સાલમાં મારી પાસે હતા. બે લાખ આવ્યા’તા. અહીં મારી ‘બીટકો એન્જિનિયરિંગ’ કંપની હતી. એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં બધા ચીપિયા-બીપિયા એ બધું આપવાનો કંટ્રાક્ટ હતો. તેમાં લોખંડ વેચીએ તો પૈસા બધા ઓનના આવેલા. પ્રશ્નકર્તા : એ જે ઉપલકના પૈસા લે તે ગુનો ના કહેવાય ? દાદાશ્રી : શાનો ગુનો ? આ બધા ગુના છે, એ એમ જ બીવડાવ બીવડાવ કરે છે લોકો, એમાં ગુનો શાનો તે ? આ તો સરકારે કાયદો કાઢ્યો એટલે આપણે ઉપલક કરવું પડ્યું. કાયદો જ ખોટો છે એ. એવો કાયદો જ ના હોવો જોઈએ કે કોઈને ઉપલક કરવું પડે. બધા વેપારીઓને ફરજ્યિાત ઉપલક કરવું પડે છે. કોઈ એક વેપારી બાકી નહીં એમાં. (પા.૩૧૯)ઇન્કમટેક્સથી એવો ‘એ’ રાખે છે કે લોકોને આવું કરવું જ પડે. નહીં તો એના હાથમાં શું રહે બિચારાના ? એટલે એ કંઈ ગુનો નથી. કોઈની પાસેથી ચોરી લેવું, એ કરવું, અગર તો સરકારનું દાણ ચોરી લેવું, એવું તેવું કોઈ હોય તો ખોટું કહેવાય. વાત સમજાવી, જ્ઞાન-દ્રષ્ટિએપ્રશ્નકર્તા : પણ દાદા આજે આ બધા કાયદાઓ કર્યા અને આ બાજુ આવું ચાલે. આ બધું કેવી રીતે ગોઠવાય ? દાદાશ્રી : બધું ગોઠવે. જે ગોઠવે એવું સાચું, પણ કાયદા ! એમાં ગોઠવવામાં રહોને તો આ બાજુનું કામ રહી જાય. અને આપણે તો આ જ્ઞાન લીધા પછી એ ગુનો જ નથી ગણાતો. આપણે ત્યાં તો ગુનેગારને જોયા કરો, અપરાધીને ! પ્રશ્નકર્તા : આમ તો કાયદા જે થયા બધા એ કાયદાઓ ‘વ્યવસ્થિત’ને આધીન જ થયાને એ ‘વ્યવસ્થિત’ને આધીન તો ખરા જ ને ? દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ને આધીન જ થાય અને આ લોકો જ કરે છે તે ‘વ્યવસ્થિત’ને આધીન જ. પ્રશ્નકર્તા : કાયદા કર્યા તે વ્યવસ્થિતને આધીન, પેલો પકડાય છે પણ વ્યવસ્થિતને આધીન, ખોટું કરે તેય ‘વ્યવસ્થિત’ને આધીન. દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ની બહાર કશું હોતું જ નથી. ચોર ચોરી કરે છે તે ‘વ્યવસ્થિત’ છે, કારણ કે ચોરી ના કરે તો પેલાના પૈસા કોણ લઈ જાય ? ભગવાન જાતે લેવા આવે ? હં ! અને કોણ ચોર બને છે ? બધાને ચોર બનાવે છે ? ના. જેને ચોરી કરવાની ઇચ્છા છે તેને જ આ મેળ બેસાડી આપે. બે નંબરનું નાણું કાયદેસરયુગાન્ડામાં તો એવો કાયદો સરકારે કાઢ્યો છે કે ભઈ, એક નંબરનાં નાણાંનો વ્યવહાર જુદો અને બે નંબરનાં નાણાંનો વ્યવહાર જુદો. એક નંબરના પૈસા બેન્કમાં જુદા જમા કરવાના. બે નંબરના પૈસાયે (પા.૩૨૦)બેન્કમાં જુદા જમા કરવાના. પ્રશ્નકર્તા : આ નવું સાંભળવા મળ્યું. દાદાશ્રી : હા, પણ એવું જ હોય. કાયદેસર આવું જ હોવું જોઈએ. એ યુગાન્ડાની શોધખોળ બહુ સારી છે. બે નંબરની કિંમત, ભાવ ઓછો હોય. એનું વ્યાજેય ઓછું હોય પણ ચોપડામાં કામ લાગે નહીંને ! અને બધા ઇન્કમટેક્સ ઓફિસરો જાણે કે આ બે નંબરના છે ને આ એક નંબરના છે. એને કરવાનું શું તે ? એનો ઉપાય શો તે ? એમનો છોકરો જ ધંધો કરતો હોય તે બે નંબર ને એક નંબર હોય ત્યાં. બધે આનું આ જ છે ને ! એનો શું ઉપાય બીજો ! પણ આ યુગાન્ડાવાળી શોધખોળ સારી. મને ગમી. બે નંબરનું નાણું અમારું, અને આ એક નંબરનું નાણું. તેય એ જ બેન્કમાં જમા કરાવવાનું. બંનેની વિંડો જુદી. એક નંબરના પૈસાની વિંડો અને બે નંબરના પૈસાની વિંડો જુદી. પ્રશ્નકર્તા : ગવર્નમેન્ટ લીગલાઈઝ કરેલું હશેને ? દાદાશ્રી : લીગલાઈઝ કરવું જ જોઈએ આવું. નહીં તો આ તો નકામી ભાંજગડ મહીં. સરકાર મૂંઝાયા કરે અને લોકોને રૂપિયા દાબદાબ કરવા પડે. અને આ તો પેલા રૂપિયાનું વ્યાજ ટકો, ઉપરના ઓનના રૂપિયાનું અને પેલા એક નંબરના રૂપિયાનું વ્યાજ હોય ટકો, પોણા બે ટકા, બે ટકા વ્યાજ ! એવી હોજો આત્માની જાગૃતિજેવી રીતે કોઈ લોભિયો હોયને, તો લોભિયાની જાગૃતિ લોભમાં કેટલી હોય ? એવું જોયેલું તમે ? પ્રશ્નકર્તા : હા દાદા ! દાદાશ્રી : કેટલી હોય ? પ્રશ્નકર્તા : ઘણી હોય. અને જે વસ્તુનો લોભી હોય, એના સિવાય (પા.૩૨૧)બીજું કંઈ દેખાય નહીં. દાદાશ્રી : લોભિયો એટલે હું તમને સમજ પાડું કે બાળક હોયને, ત્યાંથી જ મરે ત્યાં સુધી એ લોભમાં જ આખું ચેતન હોય એ ગમે ત્યાં જાય, ત્યાં ક્યાં ક્યાં સસ્તું મળશે, શું કરવાથી કેવી રીતે શું ફાયદો થાય ? એ ખોળખોળ જ કરે. ફાયદો જ ખોળે. જ્યાં જાય ત્યાં બધી બાબતમાં, ખાવાની બાબતમાં, ભલેને હલકો ખોરાક લઈએ, પણ આપણને ફાયદો રહેવો જોઈએ. એ લોભિયો ! જેમ તેમ કરીને પેટ ભરીશું પણ આપણે ફાયદો થવો જોઈએ. હવે આ લોભિયા જેવી જાગૃતિ આત્મામાં રહેવી જોઈએ કે જાગૃતિ જ્યાં ને ત્યાં આત્મામાં જ જાય. તો સંસાર કોઈ રીતે અડતો નથી. લોભિયાને જેમ બીજી વસ્તુઓ નડતી નથી. લોભિયાને ગાળો ભાંડે તો એ શું કરે ? અરે, હસે ઊલટો. શાથી ? એ જાણે કે પાંચ રૂપિયા મળ્યા છેને, છોને વાંકું બોલે ! એટલે લોભિયા બહુ પાકા હોય, એવી રીતે આત્મામાં પાકા રહેવા જેવું છે. ગાળો ભાંડે તો આપણે તો આત્માના કામ સાથે કામ છેને. આની ક્યાં ભાંજગડ આપણે વધારવી છે ? લોભિયાની જાગૃતિએટલે લોભિયાની લોભમાં જાગૃતિ હોય, માની માણસની માનમાં જ જાગૃતિ હોય. ક્યાં અપમાન થશે. તેનો ભો-ભો-ભો રહ્યા કરે. ક્યાં માન મળશે ? તે માન હારુ આગળ પેંતરા રચે. આખો દહાડો એ જ ! આ બધા માની ખરા પણ પૂરા માની નહીં. માની તો આખો દહાડો તેમાં જ હોય. વેપારમાંય ના હોય. લોભિયો લોભમાં જ હોય. આ રેલવેમાં બેસવાનું, વજન પરથી પૈસા લેવાના હોયને તો લોભિયો પાતળું થવાની ઇચ્છા રાખે. વજન પરથી ટિકિટના પૈસા લેતા હોય તો, ત્યાં સુધી લોભ. લોભ વસ્તુ શું ના કરે ? જો કે આવો કોઈ જગ્યાએ રિવાજ નથી. પણ કોઈ કોઈ જગ્યાએ એવો રિવાજ છે. જૂનાગઢ ઉપર ચઢવું (પા.૩૨૨)હોયને, તો આટલા કિલોવાળાને એટલા રૂપિયા ને આટલા કિલોવાળાને આટલા. ત્યાં આગળ લોભિયાને મનમાં ખૂંચ્યા કરે કે હાળું પાતળા હોત તો સારું થાત. ખૂંચ્યા વિના જાય નહીં એ. પૈસા આપવાના થાય ત્યાં એને ખૂંચે, એ લોભનાં લક્ષણ ! કોઈ વિષયી તો આખો દહાડો વિષયમાં ને વિષયમાં જ રહ્યા કરે. કપટી હોય તે આખો દહાડો નિરંતર કપટમાં જ રમ્યા કરે. આટલી જ જાગૃતિ આની મહીં આત્મામાં રાખવાની છે. લોભ પણ માન હેતુવાળોતારે કઈ કઈ ગાંઠ છે, લોભની અને બીજી ? પ્રશ્નકર્તા : માન. દાદાશ્રી : કેટલોક લોભ છે તારે ? માન હોય, માનને સાચવવું હોય તો લોભ ઓછો કરી નાખવો પડશે. અને લોભ સાચવવો હોય તો માન ઓછું કરી નાખવું પડે. તું તો બેઉ કરવા માગું છું. શી રીતે મેળ ખાશે ? પ્રશ્નકર્તા : એકેય ના જોઈએ. દાદાશ્રી : આ શું છે તે હું સમજી ગયો છું. એનો લોભેય જબરજસ્ત છે. અને માનેય જબરજસ્ત છે. અને માનેય બરોબર છે. પણ એનો જે લોભ છેને, તે સરવાળે માન હેતુ માટે જાય છે. હેતુ માનનો છે. એટલે કેવળ એક માન ઉપર જ જાય છે બધું. લોભ શેને માટે કે જે પૈસા હોયને, એમાંથી તો પોતાને માન મળતું હોયને, તો તેમાં વાપરી નાખે. એટલે માનનો લોભ છે. તમને નહીં એવું કશું ? પ્રશ્નકર્તા : ના દાદા. એવું તો ના કહેવાય. ડિસ્ચાર્જમાં નીકળ્યા કરે છે, એ દેખાય છે ખરા. દાદાશ્રી : જે છે એ નીકળવા દોને. પ્રશ્નકર્તા : નીકળે છે એ દેખાય છે. (પા.૩૨૩)દાદાશ્રી : નીકળે છે એ દેખાય છેને ? ત્યારે સારું. લોભની ખાતર લોભ હોય એ રખડાવી મારે. પણ માનની ખાતર લોભ હોયને એ સારો ! માનનો લોભપ્રશ્નકર્તા : આપે કહ્યું કે લોભ અને માન સાથે ના હોય. અથવા વિરોધાભાસી છે, તો સાથે કેવી રીતે રહે છે ? દાદાશ્રી : હા, આ તો માન હેતુ માટે લોભ છે. માટે સાથે રહે છે. માનની ખાતર માન હોય અને લોભની ખાતર લોભ હોયને, માન હેતુ ખાતર લોભ ના હોય તો એ બે સાથે રહી ના શકે. બધો લોભ, જેટલા પૈસા છેને, એટલું એને જ માન મળતું હોયને તો એને સાથ આપી દે. એટલે એ મૂળ પાછળ લોભ નથી. લોભની પાછળ માન રહેલું છે. એટલે અહંકાર બહુ ભારે છે આ. એ એમ જ જાણે કે મારા જેવો કોઈ અક્કલવાળો નથી ! પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે માનનો લોભ કહેવાય. દાદાશ્રી : હા, માનનો લોભ. માન પ્રાપ્ત કરવાનો લોભ પણ છેવટે માન ઉપર જાય છે. લોભને માટે નહીં, માનને માટે લોભ ! પ્રશ્નકર્તા : લોભને માટે માન હોય ? દાદાશ્રી : હા, હોયને. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? દાદાશ્રી : આટલું કમાઉં તો જ મારે નિકાલ થાય, એ એક પ્રકારનું માન. પણ એ અહંકાર કહેવાય, માન ના કહેવાય. ત્યાં ઉપાય જોવું, જાણવુંપ્રશ્નકર્તા : એટલે આપણે આ જ્ઞાન પછી જોયા જ કરવાનું કે લોભનો માલ હોય કે માનનો માલ હોય. દાદાશ્રી : બીજો ઉપાય જ નથી એનો. આ જ્ઞાન લીધા પછી બીજો (પા.૩૨૪)ઉપાય નથી. અને જ્ઞાન ના લીધું હોય તો તો બધું જ્યાં હોય ત્યાં કાયમનો ગૂંચવાયેલો જ. કાયમ સફોકેશનમાં જ રહો, ગૂંચવાયેલા જ રહો. આ જ્ઞાન પછી તો ગૂંચામણ ઊડી જાય. આમ આમ, ખંખેરી નાખ્યું એટલે ખરી પડે ! લોભ પમાડે રોગપ્રશ્નકર્તા : અત્યારે લોભને લીધે આ અધર્મ પેઠો છેને ? દાદાશ્રી : હા, આ લોભને લઈને આ બધું નુકસાન થાય છે. ને લોભ જ એને ફસાવે છે. ‘આમ કરો ને, એટલે આટલા હજાર બચી જશે’ તેથી તો લોભને દુશ્મન કહ્યો છેને ! લોભ ઊંધું શિખવાડીને માણસને આંધળો કરી નાખે છે. ‘આ દસ હજાર બચી જાય છે માટે લખી કાઢોને ઊંધું !’ પ્રશ્નકર્તા : અને લોભને પણ વધારનાર આપણી સરકાર જ છેને ! દાદાશ્રી : સરકાર એટલે છેવટે આપણે જ છીએ, એ આપણું જ સ્વરૂપ છે. એટલે એ આપણા ને આપણા જ માથે આવે છે. માટે કોને ગાળ દેવી ? સરકાર તો આપણું જ પ્રતીક છે. એટલે કોને કહેવું આપણે ? માટે ભૂલ પોતાની જ છે. બધી બાબતમાં જો પોતાની જ ભૂલ જોશો તો ભૂલ ભાંગશે, નહીં તો ભૂલ ભાંગશે નહીં. આ ઉપાય કરી તો જુઓપ્રશ્નકર્તા : આ બધી સંસારની જંજાળ ખોટી છે છતાં લાગુ પડેલી છે ! દાદાશ્રી : ખોટી કેમ છે ? કોઈ દહાડો રસ્તામાં પાંચ રૂપિયા નાખી દીધેલા કે ? પ્રશ્નકર્તા : નથી નાખી દીધા. દાદાશ્રી : આ જંજાળ ખોટી હોય તો નાખી દીધા વગર કોઈ રહે કે ? કારણ કે વગર કામનો બોજો કોણ રાખે ? આ ગજવામાં જે પરચૂરણ બધું ભર્યું છે તે બહાર નાખી દોને. આ બોજો છે નહીં ? છતાંયે નાખ્યું (પા.૩૨૫)નથીને ? કોઈ નાખી દેતું નથીને ? પ્રશ્નકર્તા : નાખી દેવાની શક્તિ આવવી જોઈએ. દાદાશ્રી : એક ફેરો નાખી તો દો એટલે બીજી વખત શક્તિ આવી જાય પણ એકુંય વખત તમે નાખતા જ નથીને ? એક ભાઈ મને કહેતા હતા કે, ‘મારે પૈસા વાપરવા છે તોય વપરાતા નથી. મારા હાથ બાંધેલા છે તો મારે શું કરવું ?’ મેં એને કહ્યું, ‘રિક્ષા ભાડે કરીને સ્ટેશન ઉપર ફરીને પાછા આવો અને રસ્તામાં પંદર-વીસ રૂપિયાનું પરચૂરણ નાખતા જાવ !!! તે મન કૂદાકૂદ કરશે, પણ તમે તમારે નાખતા જ જજો. પછી સ્ટેશનથી પાછા ફરતી વખતે રસ્તામાં નાખતા જવાનું. ત્યારે મન પાછું બૂમાબૂમ કર્યા કરશે. પછી બીજે દહાડે ફરી રૂપિયા નાખવા જશો ત્યારે આપણે ગઈ કાલે દસ નાખ્યા હતા, તેને બદલે આજે નવ નાખીએ તો મન ‘આજે’ તો સારું છે એમ કહેશે એવું શાથી ? પ્રશ્નકર્તા : એક ઓછું નાખ્યું તેથી. દાદાશ્રી : હા, ત્રીજે દહાડે આઠ, ચોથે દહાડે સાત એમ આઠ-નવ દહાડા મન સારું સારું કર્યા કરે તેમ નાખવું. પછી પાછા એક દહાડે સો રૂપિયાનું પરચૂરણ રસ્તામાં નાખી દેવાનું ! એટલે પાછું નવ્વાણું નાખે એટલે પાછું મન સારું જ છે એમ કહેશે. એવો મનનો સ્વભાવ છે. મનને વશ કેમ કરવું એ તો જ્ઞાનીઓ જ સમજે. એક ફેર રૂપિયા નાખી દે તો લોભિયો સ્વભાવ છૂટી જાય ! પણ નાખતા જ નથીને ? ઊલટા કોઈએ નાખ્યા હોય કે કોઈના પડી ગયા હોય તો લઈ આવે. એવી ભાવનાથીય ઓગળે ગાંઠોપ્રશ્નકર્તા : મને લોભની ગાંઠ છે તો શું કરવું ? દાદાશ્રી : તમારે બોલવું કે ‘વ્યવસ્થિત’માં જે હો તે ભલે હો ને ના હો તો ભલે હો. (પા.૩૨૬)પ્રશ્નકર્તા : એ લોભની પ્રકૃતિ કેવી રીતે કાઢવાની ? દાદાશ્રી : લોભની પ્રકૃતિ હોયને, એ બધી મિલકતો હોય, તે બધી સબોટેજ કરાવી નાખવી, એટલે બહાર રૂપકમાં નહીં, પણ આમ કલ્પનાથી કે બેન્કમાંથી ઉપાડીને બધાંને આપી દેવાના અને કહેવું કે વાપરી કાઢો. તે બધું બહાર રૂપકમાં નહીં આપી દેવાનું, પણ એવી ભાવનાથી પેલી ગાંઠો બધી ઓગળી જાય. બહાર તો કશો જ અધિકાર નથી. બેન્કમાંથી તમે લઈને આપી દો, એવો અધિકાર કોઈને છે જ નહીં. આ કોઈ પોતાનાં છોકરાંને આપે એવા નથી. જો લઈ જવાતું હોય તો બધાં જ જોડે લઈને જાત ને ઊલટા દેવું કરીને લઈને જાય એવા છે. પણ આ જોડે નથી લઈ જવાતું એટલે શું થાય તે ? અને માણસના હાથમાં રૂપકમાં અપાય એવું છે જ નહીં, અપાય એવી એક શક્તિ હોય તો બધી શક્તિ હોય. શાથી અપાય છે ને શાથી લેવાય છે, તે બધું અમે જાણીએ છીએ, માટે આપણે કલ્પનાથી કંઈ કરી શકાય, ભાવનાથી કંઈ કરી શકાય. કહેવું પડે આ લોભી સ્વભાવનેલોભિયા માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તા શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયાભાઈ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઈએ કે મોંઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછ્યે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નહીં મળતું તે પછી તે ભાગવા લાગે ! અમારે ત્યાં એક ભાઈ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણી-બૈરી બે જ જણા છે ઘરમાં. કોઈ છોકરું-છૈયું તેમને હતું નહી.ં તે એક દિવસ મને કહે, ‘દાદા મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસા ના છૂટે. હું કોઈને ઘેર લગનમાં પીરસું તોય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય છે, તે બધા હું સાંભળું તેમ બોલે છેય ખરાં કે ચીકણા લીંટ જેવા છે. આ તો મારી બૈરીય બૂમો પાડે છે પણ શું કરું ? (પા.૩૨૭)આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કોઈ રસ્તો બતાવો. આ તો કો’કનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે.’ તે પછી તેમને એમ કહેલું કે તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો. ભાઈએ તેમ કર્યું ને તેમનું કામ થઈ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઈ જાય અને મન પણ મોટું થાય ! રિક્ષામાં બેસી પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે. ધનથી સેવા, પણ શાને માટે ?પૈસાના વિચાર મનમાં લાવવાના જ નહીં. આપણાથી બને તો ટેકો કરવો અને તોય લોભ છોડવા માટે કહેલું છે. આપણો લોભ છૂટે નહીંને ત્યાં સુધી લોભની ગ્રંથિ જાય નહીંને ત્યાં સુધી મોક્ષ થાય નહીં ! શ્રીમદ્ રાજચંદ્રે પુસ્તકમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષની તન-મન અને ધનથી સેવા કરજો. ત્યારે કો’કે પૂછ્યું, ‘ભઈ જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ? એ તો કોઈ ચીજના ઇચ્છુક જ ના હોય. ત્યારે કહે ‘ના, તન-મનથી તમે સેવા કરો છો પણ તમને એમ કહે કે આ સારી જગ્યાએ ધન નાખી દો, તો તમારી લોભની ગ્રંથિ તૂટી જશે. નહીં તો લક્ષ્મીમાં ને લક્ષ્મીમાં, ચિત્ત ત્યાંનું ત્યાં જ રહ્યા કરે. ‘હવે ત્રીસ હજાર ડોલર થયા છે. હવે બીજા દસ-વીસ હજાર કરું.’ એમ કરતાં કરતાં પછી ઠાઠડી આવે અને ચાલ્યા ગયેલા, મેં જોયેલાયે. ઘણા જોયેલા બળ્યા ! ખોટ આવે તો લોભ જાયએક ભાઈ મને કહે છે ‘મારો લોભ કાઢી આપો, મારી લોભની ગાંઠ આવડી મોટી છે ! તે કાઢી આપો.’ મેં કહ્યું ‘એને કાઢીએ તો ના જાય. એ તો કુદરતી પચાસ લાખની ખોટ આવેને એટલે એ લોભની ગાંઠ એની મેળે જતી રહે. કહેશે હવે પૈસા જોઈતા જ નથી, બળ્યા !! એટલે આ લોભની ગાંઠ તો ખોટથી જતી રહે. મોટી ખોટ આવી હોયને તે બધું હડહડાટ ગાંઠ તૂટી જાય ! નહીં તો એકલી લોભની ગાંઠ ના ઓગળે, બીજી બધી ગાંઠ ઓગળે !! લોભિયાને બે ગુરુઓ, એક (પા.૩૨૮)ધુતારો ને બીજી ખોટ. ખોટ આવેને તે લોભની ગાંઠ હડહડાટ તોડી નાંખે ! અને બીજા લોભિયાને એમનો ગુરુ મળી આવે ફક્ત ધુતારા ! તે હાથમાં ચંદ્રમા દેખાડે એવા ધુતારા હોય, ત્યારે પેલો લોભિયો ખુશ થઈ જાય ! પછી આ પેલાની આખી મૂડી જ લઈ નાખે ! પૈસાનો મોહ ઘટાડ્યો ના ઘટે. ખોટ આવે ત્યારે લોભ જાય. ત્યારે વર્તે સમાધિમને લોક પૂછે કે ‘સમાધિ સુખ ક્યારે વર્તશે ?’ ત્યારે મેં કહ્યું કે ‘જેને કંઈ જ જોઈતું નથી. બધી લોભની ગાંઠ છૂટે ત્યારે.’ લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્ત્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથીને ! એટલે ભેલાડોને, જેટલું ભેલાડશો એટલું તમારું ! દેશી-પરદેશીમાં કોણ ચઢે ?બે માણસો ઘૈડા ઘરના હોય, એક ફોરેનમાંથી આવ્યો હોય, ફોરેનનો હોય અને એક આપણા અહીંનો ઇન્ડિયન હોય. બેને આપણે કહીએ કે તમે હવે હિમાલયમાં ગમે ત્યાં જઈને બેસી જાવ. લો, આ લાખ-લાખ રૂપિયા તમારા ખર્ચ માટે. તો પછી બેઉની સ્થિતિ શું થાય ? બંને કેવી રીતે વાપરે ? ખાવા-પીવાનું તો બધું જોઈએ. તે વાપરે કે ના વાપરે ? પ્રશ્નકર્તા : વાપરે. દાદાશ્રી : અને પછી પંદર-વીસ વર્ષ પછી બેઉ મરી જાય તો કોની પાસે મૂડી વધારે નીકળે ? પ્રશ્નકર્તા : ભારતીય પાસે. દાદાશ્રી : શાથી ? એણે લાખ રૂપિયા લીધા ત્યારથી ભો કે, ‘વપરાઈ જશે તો શું કરીશ ? વપરાઈ જશે તો શું કરીશ ?’ ખલાસ થઈ જાય તો શું થાય ? પ્રશ્નકર્તા : ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. દાદાશ્રી : હા, ત્યાં સુધીમાં એ ખલાસ થઈ જાય. પણ એ વાપરે (પા.૩૨૯)ખરો, ધર્માદા કરે, દાનપુણ્ય કરે પણ એની મહીં આ જાગૃતિ રહે કે ખલાસ થઈ જશે તો શું થશે ? અને પેલા ફોરેનવાળાને એવું કશું ના હોય. એ મજામાંય વાપરે. કોઈની ઉપર ઉપકારેય કરે. એ ઓબ્લાઈઝ કરે. ના કરે એવું નહીં. તે ફોરેનવાળો મરી જાય ત્યારે એની પાસે વખતે બે હજાર રૂપિયા હોય, નહીં તો નાયે હોય અને આવું તેવું ના હોય. એ સાહજિક છે. કોથળીયે ખાલી થતી જાય અને એય ખાલી થતો જાય. જ્યારે ઇન્ડિયનની તો કોથળી પડી રહેને, એ ખાલી થઈ જાય. એટલે આપણા લોકોની પ્રકૃતિ એવી ! વધારે જીવીશ તો શું થશે ? જરૂર પડશે તો શું થશે ? તે જ્યારથી રૂપિયા હાથમાં આવ્યા ત્યારથી એવું હોય કે ના હોય ? ત્યાં કષાય નથી ખીલ્યાપ્રશ્નકર્તા : એ ફોરેનવાળા લોકોનું જીવન જ એવું હોય કે કષાય ઉત્પન્ન ના થાય. રહેણીકરણી, હવા, વાતાવરણ બધી વ્યવસ્થા એવી હોય કે કષાય ઉત્પન્ન ના થાય. દાદાશ્રી : એ એમના હિસાબસર જ બધું ગોઠવાયેલું હોય. કષાય જ નહીંને ! લોભ કષાય નહીં. માન કષાય નહીં. કશી બીજી ભાંજગડ જ નહીં. પાર્લામેન્ટમાં હોય એટલાને થોડા ઘણા વિચારો આવે. બાકી વિચાર જ ના આવેને ! પ્રશ્નકર્તા : ત્યાં પાંચસો રૂપિયાનો ખરાબ માલ નીકળ્યો તો પાછો આપે તો તરત લઈ લે. દાદાશ્રી : હા, તરત લઈ લે. પ્રશ્નકર્તા : અને અહીં તો દીધેલો માલ પાછો લેવામાં નહીં આવે. દાદાશ્રી : અરે, લખેલું હોય તોયે ના લે ! નહીં તો મોક્ષ સૂઝે નાફોરેનના લોકોનાં ક્રોધ-માન-માયા-લોભ આવડાં-આવડાં જ છે ! એક ઈંચના !! અને આપણા લોકોનાં ક્રોધ-માન-માયા-લોભ તો ઝાડ (પા.૩૩૦)જેટલા થયેલાં છે ! તેથી ચિંતાઓય બહુ છે અને એમને ચિંતા-બિંતા ના થાય અને આપણા લોકોને ચિંતાય બહુ એટલે પછી મનમાં કંટાળે કે બળ્યું આમાં સુખ નથી. એટલે શોધખોળ કરે કે સુખ શામાં છે ? ત્યારે સુખ મોક્ષમાં છે કહેશે ! પછી મુક્તિના વિચારો આવે. અહીં જો ચિંતા ના હોયને તો મોક્ષમાં કોઈ જાય નહીં, એકુંય માણસ ના જાય. લોભ કેટલી પેઢી સુધીનો ?આ કૂતરાં હોય છે, તે કંઈ પૈણવાની ડખલમાં પડે ? ગાય-બાય પૈણવાની ડખલમાં પડે ? પૈણી લે મૂંઆ ! ગાય પણ એના બચ્ચાને છે તે છ મહિના સુધી સાચવે છે. કેવું સરસ સાચવે છે ! જ્યાં સુધી વાછરડું મોટું નથી થયું ત્યાં સુધી એની ફરજો કેટલી બધી સુંદર બજાવે છે ? પછી નહીં. અને આપણા લોકો તો સાત પેઢી સુધી મારા છોકરાના છોકરાં ને તેનાં છોકરાં છોડતાં નથી ! અને ફોરેનવાળા તો અઢાર વર્ષનો વિલિયમ ને મેરી થાય એટલે જુદાં ! આપણે અહીં તો અવિભક્ત કુટુંબ. આ તો હમણે સારું થયું, નહીં તો પહેલાં તો સાત પેઢી સુધી લોભ. મારા છોકરાના છોકરાં, છોકરાનાં છોકરાં સુખી રહે એટલા માટે આ જમીનો-બમીનો બહુ રાખે ? પ્રશ્નકર્તા : કોઈ સાત પેઢીનો પૈસો ભેગો કરો ત્યારે ઘણા માણસો પર આ સૃષ્ટિમાં અન્યાય થાય છે, તે કઈ રીતે ચલાવી લેવાય ? દાદાશ્રી : એ તો અન્યાય છે એટલે જ એકબીજાનું લૂંટી લે ને ? લોકોને સાત પેઢીનો લોભ ! લોભિયો માણસ ગમે તે રસ્તે છેતરે, કપટ કરીને પણ લોભ પૂરો કરે જ. એટલે આપણે આ લોભ છે સાત પેઢીના ! બહુ મુશ્કેલી ! અને ફોરેનવાળાને એવું નથી. અઢાર વર્ષનો છોકરો થયો કે જુદો ! ભગવાનનેય છેતરનારા છેફોરેનના લોકો એ સાહજિક પ્રજા છે. એમને ક્રોધ-માન-માયા-લોભ આટલાં બધાં ના હોય. એ તો અઢાર વર્ષનો વિલિયમ થયેલો હોયને તો વિલિયમ છૂટો ને આપણે જુદાં, એવું કપલે કપલ જુદું અને આપણે (પા.૩૩૧)ત્યાં તો સાત પેઢીનો લોભ હોય !!! મારા છોકરાના છોકરાં ને તેનાં છોકરાં ખાશે ! એક વાણિયાએ તો ભગવાન પાસે માગ્યું હતું કે મારો છોકરો ને તેનો છોકરો ને તેના છોકરા તે સાત પેઢીના છોકરાને એટલે કે મારી સાતમી પેઢીના છોકરાની વહુ મહેલના સાતમા માળે સોનાની ગોળીમાં છાશ વલોવે તે હું અહીં રહીને દેખું !!! પોતે આંધળો હતો !! કેટલું બધું માગ્યું ?!! આટલો બધો લોભવાળો ! અને એ લોભને લઈને બળતરા ઊભી થાય. બળતરા ઊભી થાય એટલે પછી રસ્તો ખોળે કે અહીંથી ક્યારે કેમ કરીને મોક્ષે નાસી જઈએ. વધારેમાં વધારે બળતરા જૈનોને. એ વહેલો મોક્ષ ખોળે. તેથી એમનાં છોકરાંઓને દીક્ષા હઉં લેવા દે. મોહ ઓછો હોય. અત્યારે તો બધું ભેળસેળ થઈ ગયું છે. બન્ને સુખનું બેલેન્સ ઘટેપ્રશ્નકર્તા : આ લોકો હિપ્પી જેવા હતા. હિપ્પી થઈ જાય છે એ લોકો. તેમને બળતરા હોય છે એટલે થાય છે. એ કઈ જાતનું ? એ બળતરામાં ને આ બળતરામાં શું ફેર ? દાદાશ્રી : એ બળતરામાં ને આ બળતરામાં બહુ ફેર. એ બળતરા તો કેવી છે કે એને મૂર્ખતાની બળતરા છે. એમને સુખ બહુ વધેલું હોય ને એબોવ નોર્મલ સુખ થાય ત્યારે માણસને કડવું પોઈઝન લાગે, ઝેર જેવું લાગે. આપણા લોકોનેય લગનમાં એક મહિના સુધી રાખ્યા હોય તો નાસી જાય, કહ્યા વગર નાસી જાય. રોજ જમવાનું હોય તો નાસી જાય કે ના નાસી જાય ? એ લોકો એટલા બધા મૂંઝાઈ ગયા કે આ સુખોમાં એમને ગમતું જ નથી, ચેન નથી. આંતરિક સુખ ખલાસ થઈ ગયુંને ! ખરી રીતે કુદરતી કાયદો શો છે ? આંતરિક સુખ આમ લેવલમાં રહેવું જોઈએ. આંતરિક સુખ અને બાહ્ય સુખ લેવલમાં રહેવું જોઈએ. કોઈ વખતે, વખતે બાહ્યસુખ આમ વધ્યું તો આંતરિક સુખ ઘટ્યું હોય અને બાહ્યસુખ વધ્યું હોય તો આટલું થયું હોય તો ચાલી શકે. પણ આ તો આમ જ થઈ ગયું છે. (એકદમ up & down). પ્રશ્નકર્તા : એ બહુ મોટો ડિફરન્સ છે. (પા.૩૩૨)દાદાશ્રી : એટલે આંતરિક સુખ રહ્યું જ નથી બિલકુલ. માણસ મેડ થઈ જાય અને બહુ જ બળતરા થાય. આરોપિત ભાવ છેને તે બહુ જ બળતરા ઉત્પન્ન થાય. આ અંગ્રેજોની અમેરિકનોની પડતી એ રીતે જ છે. ભૌતિક સુખના બહુ એબનોર્મલ છે. એનાથી બધી પડતી જ છે. બેસી રહ્યા તે મગજનું ઠેકાણું નહીં. બ્લડ પ્રેશર વધી ગયેલું હોય એની મુશ્કેલીઓ એ જ જાણે ! પ્રશ્નકર્તા : એમાં લોભનો અતિરેક નહીં ? દાદાશ્રી : લોભ ખરો. તે લોભને લઈને તો આ બધું થયું, પણ આ પરિણામ આવ્યું લોભનું ! લોભના અતિરેકથી તો આ પરિણામ આવ્યું. ધન વહે ગટરમાંપૈસા આવે એટલા વાપરી નાખે ને એ સુખિયો. સારા રસ્તે જાય તો એ સુખિયો. એટલા તમારે ખાતે જમે થાય, નહીં તો ગટરમાં તો જતા રહેવાના છે. ક્યાં જતા રહેવાના ? ગટરમાં જતા હશે ? આ મુંબઈના રૂપિયા બધા શેમાં જતા હશે ? એય નર્યા ગટરમાં ચાલ ચાલ કરે છે ! એ સારા રસ્તે વપરાયો એટલો રૂપિયો આપણી જોડે આવે. કોઈ બીજો કોઈ જોડે આવે નહીં. પ્રશ્નકર્તા : ગટરવાળાને રૂપિયા જોડે નહીં આવે ? દાદાશ્રી : ગટરમાં ગયો એ દરિયામાં ગયો ! પ્રશ્નકર્તા : એનું કોઈ પરિણામ નહીં ? દાદાશ્રી : કશુંય પરિણામ નહીં. કો’કને ખવડાવ્યું હોય તો પરિણામ આવે. કોઈને ખવડાવવાની ભાવના થાય છે ? ભાવના હોય ત્યારે હાથમાં રૂપિયા ના હોય ને હાથમાં રૂપિયા હોય ત્યારે ભાવના ના થાય. એ સાંધો મળવો જોઈએને ! પ્રશ્નકર્તા : પણ એ જે રૂપિયો ગટરમાં ગયો એનું કર્મ તો થાયને કંઈ ? દાદાશ્રી : એ તો ગટરમાં જાય કે સારા રસ્તે જાય. બેઉ બંધ (પા.૩૩૩)આપીને જ જાય. સારા રસ્તે જાય તોય બંધ આપે. સારા રસ્તે જાય તો સોનાની બેડીના બંધ જ આપે. ગટરમાં જાય તો પેલી લોખંડની બેડીનો બંધ આપે. બન્ને બંધ જ આપે. મોક્ષ ક્યારે આપે ? કર્તાપણું બંધ થાય ત્યારે. કર્તાપણું બંધ થાય, જ્ઞાતા-દ્રષ્ટાપણું રહે પોતાને, ત્યારે મોક્ષ થાય ! ત્યાં લક્ષ્મી ના વસેતિરસ્કાર ને નિંદા ત્યાં લક્ષ્મી નહીં રહે. ‘લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની નિંદા કૂથલીમાં પડે ત્યારે.’ (આપ્તસૂત્ર-૧૩૩૬) ત્યારે લક્ષ્મી આવતી બંધ થઈ જાય. ‘મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા ને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે.’ (આપ્તસૂત્ર-૧૩૩૭) હા આ વાણી તો સરસ્વતીદેવી છે. જો દુરુપયોગ કરેને તો લક્ષ્મીજી રિસાય. વાણી તો સરસ્વતીદેવી છે. નિંદા ના કરાય. અહીં તો કોઈ નિંદા નથી કરતુંને, આ ગામમાં ને ? એટલે સારું છે. ત્યારે આવશે ઊંચે ઇન્ડિયા‘આ આપણો દેશ ક્યારે પૈસાવાળો થશે ? ક્યારે લક્ષ્મીવાન ને સુખી થશે ? જ્યારે નિંદા ને તિરસ્કાર બે બંધ થઈ જશે ત્યારે. આ બે બંધ થયા કે દેશમાં નર્યા પૈસા ને લક્ષ્મી પાર વગરની થાય. પ્રશ્નકર્તા : નિંદા ને તિરસ્કાર ક્યારે બંધ થાય ? દાદાશ્રી : લોભ વધે એટલે નિંદા અને તિરસ્કાર બેઉ બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : લોભ વધે તો કપટ પણ વધેને ? દાદાશ્રી : હા, પણ લોકોનાં તિરસ્કાર અને નિંદા કરવાનાં તો બંધ થઈ જાયને ! લોભિયો માણસ નવરો પડે જ નહીંને ! લોભી તો એના તાનમાં જ હોય, એટલે એને લક્ષ્મીના અંતરાય પછી ના પડે. લક્ષ્મી તો (પા.૩૩૪)કોને અંતરાય ? કે જેને આ બધું થાયને કે, ‘હિંમતલાલ આવા છે, ફલાણાભાઈ આવા છે’, એવી નિંદા છે ત્યાં લક્ષ્મી નથી. ‘આ વાઘરો છે, આ ઊંચી જાતનો છે, આ આમ છે, આ તેમ છે, એવી કશી લોભિયાને ભાંજગડ જ ના હોય. કોઈ વાઘરો હોય, પણ એના ઘરાક હોયને તો તેનેય કહેશે કે, ‘આવો ભાઈ, બેસો શેઠ, અહીં ગાદી પર બેસોને !’ પ્રશ્નકર્તા : લોભિયાને એટલે કોઈ અંતરાય આવો ના પડે ? દાદાશ્રી : લોભિયો એટલે એકલા પૈસાનો જ લોભ નહીં. સુખનો લોભ હોય. પ્રશ્નકર્તા : માનનો લોભ ખરો ? દાદાશ્રી : માનનો લોભ ના ગણાય, સુખનો લોભ ગણાય. માનના લોભમાં તો પછી નિંદા પેસી જાય. પ્રશ્નકર્તા : તો આ મુંબઈમાં લોકો માનના લોભમાં નહીં ? દાદાશ્રી : ના, આ માનનો લોભ ખરેખર ગણાતો નથી. સુખનો લોભ હોય છે. માનનો લોભ હંમેશાં ક્યારે કહેવાય ? કે બીજાની નિંદા કરવાની તેને નવરાશ મળે. મુંબઈ શહેરમાં લોકોને પૂછી આવો જોઈએ કે, ‘તમને બીજાની નિંદા કરવાની નવરાશ છે ?’ ત્યારે કહે, ‘ના’. એટલે ઘડીવારની નવરાશ આ લોકોને ના હોય અને ત્યાં વઢવાણમાં જઈએ તો ? પ્રશ્નકર્તા : ત્યાં બધે એ જ હોય. દાદાશ્રી : છતાં અમે કહ્યું છે કે, આ હિન્દુસ્તાનમાં નિંદા અને તિરસ્કાર ઘટવા માંડ્યાં છે અને લોભ વધ્યો છે. સુખનો લોભ વધ્યો છે તેથી હિન્દુસ્તાનનું સારું થવાનું છે. આ લક્ષણ પરથી હું સમજી જઉં. ભલેને જરા મોહ વધશે, પણ બીજું નિંદા-તિરસ્કાર બધું ઘટશેને ?! ત્યાં ખોટોય સાચો ગણાયઆ લોભિયો હોય તેને ત્યાં જો આપણા પૈસા ઘલાયા ને આપણે એને ગાળો ભાંડીએ ત્યારે એ હસે ! અલ્યા, હું ગાળો ભાંડું છું ને તું હસે (પા.૩૩૫)છે ? તે પછી આડોશી-પાડોશી ને રસ્તે જતાં લોક આપણને શું કહે કે, ‘આ ચિઢાય છે માટે આ જ નાલાયક માણસ છે, આ જુઓને બિચારો હસે છે, તે અક્કરમી ઊલટો માથે પડે ! રૂપિયા જાય આપણા અને આપણે લોભિયા જોડે ખોટા દેખાઈએ. સમજણ પડીને, લોભિયો કેવો હોય ?! પ્રશ્નકર્તા : લોભિયો પોતાના સુખની અંદર રહ્યા કરે ? દાદાશ્રી : એ જાણે કે હમણે આ થાકીને જતો રહેશે અને આપણને તો આ રૂપિયા મળ્યાને ! મોહ મિટાવે નિંદાઆવી વાત લોકો જાણે તો સુખિયા થઈ જાયને ! આ કુદરત આપણા ‘હેલ્પ’માં છે એ વાત નક્કી છે. એટલે મેં કહી રાખ્યું છે કે ૨૦૦૫માં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ જવાનું છે. માટે આ વાત બહુ સમજવા જેવી છે. શાથી લોકો દુઃખી હતા એ મેં ખોળી કાઢ્યું અને અત્યારે ગામડાવાળા શાથી દુઃખી છે ? હજુ આ નિંદાના જ ધંધામાં પડેલા છે. આજનાં આ જીવડાં તો કશુંય ના હોય તો એય રેડિયો, ટી.વી.ની મસ્તીમાં ને મસ્તીમાં રહે ! આ લોકો કોઈની નિંદામાં ના પડે. એ તો ટી.વી. જુએ, ફલાણું જુએ, તેય આંખો બગાડીને. કંઈ લોકોની આંખો ઓછી બગડે છે ?! પોતાની જવાબદારીને ! આપણો આખો દેશ નિંદાથી, ભયંકર નિંદાથી ખલાસ થઈ ગયો હતો, શાસ્ત્રકારોએ નિયમ કહેલો છે કે અવશ્ય ટીકા કરજો. ટીકા નહીં કરો તો મનુષ્યો પાછા નહીં ફરે. એ ટીકાનું ‘એક્ઝેજરેશન’ થઈ ગયું અને તેની નિંદા આવી ગઈ ! જે વિટામીન હતું તેનો જ નાશ કર્યો ! જ્ઞાની વાળે પોઝિટિવ પંથેહું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો. જો એ સારો હોયને, તો એને સારામાં પુષ્ટિ આપી દઉં. એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઊડી જાય. આ જગતને નેગેટિવ અત્યાર સુધી અથાડ અથાડ (પા.૩૩૬)કરેલું ! લક્ષ્મી આવ્યા પછી સુખ ના હોય, મહીં બળાપો થતો હોય તો એ બધું પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. નહીં, તો સાચી લક્ષ્મી ક્લેશ ના થવા દે ! એટલે લક્ષ્મીના તો એવા સુંદર ગુણો છે ! ૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્રપ્રશ્નકર્તા : આ થોડાં વર્ષોમાં સત્યુગ શરૂ થશે એવું લોકો બોલે છે, એ શું છે ? દાદાશ્રી : યુગપલટાની શરૂઆત થઈ ગયેલી છે, કેટલાય વખતથી. પણ યુગપલટો ખરેખર થોડાંક વર્ષો પછી આવશે. બે હજાર પાંચમાં આવશે ! ખરો યુગપલટો થશે. એ જે લોકો બોલે છે એ સાવ ખોટું નથી. વચ્ચે કપરો કાળપ્રશ્નકર્તા : આટલાં વર્ષ તો બહુ કપરાં જશે. દાદાશ્રી : કપરાં વર્ષ તો હજુ હવે આવવાનાં છે. કપરા દહાડા હજુ દસ-પંદર વર્ષ છે, એવા કપરા કે ખરેખરા ! આ સલાહના પૈસા લીધા ને, તે બધાને તો દંડ આપવાના છે ત્યારે લોકો ફરશેને ! માથામાં દંડા વાગશેને, ત્યારે કહેશે, હવે સાહેબ નહીં લઉં. માથામાં વાગે એટલે નહીં લેને પછી ? એનો દંડ કુદરત આપે ત્યારે. આ સરકારના દંડને ગાંઠે એવા નથી આ. સલાહનાય પૈસા લીધા. અરે, બુદ્ધિથી લોકોને માર્યા. ઓછી બુદ્ધિવાળાને વધારે બુદ્ધિવાળાએ લૂંટી લીધો. વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાને છેતરે કે ના છેતરે ? તે વધારે બુદ્ધિ એટલે અજવાળું. આપણી પાસે બુદ્ધિ એટલે એક લાઈટ કહેવાય અને ઓછી બુદ્ધિવાળા એની પાસે લાઈટ નથી. તેથી અંધારામાં અથડાય ત્યારે આપણે એને લાઈટ ધરવી જોઈએ. આમ દીવો ધરવો જોઈએ. તેને બદલે એની પાસેથી પૈસા ખંખેરી લીધા. બોલો હવે શું થાય એનું ? કુદરત કાયમ ન્યાયી જદસ-પંદર વર્ષ તો એવાં કડક આવવાનાં છે કે લોકોય જિંદગીમાં (પા.૩૩૭)ભૂલી જાય, એવું બધું આવશે. હજુ તો આવવાના છે. ત્યાર પછી સત્યુગ આવશે. પછી મન સારાં થઈ જશે. લોભ છૂટશેને ! લોભ ક્યારે છૂટે ? કંઈક આવો માર પડે કે કાં તો ખોટ જાય. લાંબી ખોટ જાય તો લોભ છૂટી જાય. કાં તો માર પડે તો છૂટી જાય, એટલે આ કુદરત ફરી વળે છે. એવી દસ-પંદર વર્ષ મારશે. પાછું ન્યાયથી જ મારશે ! કારણ કે અન્યાયથી મારવાનો કુદરતનો નિયમ જ નથી. તદ્દન ન્યાય ! કુદરત એક મિનિટ ન્યાયની બહાર ચાલતી નથી. કુદરતનો ન્યાય ન્યારોલોક કહે છે કે આ દુકાળ પડે છે, તે શું કરવા ? કુદરત અન્યાયી જ છેને ?! અલ્યા, કુદરત અન્યાયી ના હોય. કુદરત ન્યાયી જ હોય. કાયમ જો સુકાળ જ પડ્યા કરેને, તો તો આ અમુક જાતિઓ એવી છે કે જેને બુદ્ધિ બહુ ખીલેલી નથી, એ પછી શહેરોમાં આવીને બંદૂકો મારે. એ લોકોને પૂરું ખાવાનું કાયમને માટે મળે, તો એ લોકો બીજાને માર્યા વગર છોડે નહીં. માટે એને કુદરત ઠેકાણે ને ઠેકાણે રાખે છે, કુદરત નવરો જ ના પડવા દે એને. કો’કને મારવાનો વિચાર કરવાની નવરાશજ ના આવવા દે ! એક-બે વર્ષ અનાજ પાકે ને ત્રીજે વર્ષે દુકાળ ! એટલે પેલું લાવ્યો હોય તે દેવું કર્યું હોય તે વળી પાછું બે વર્ષે પાકે તો ભરાઈ જાય. ત્યાર હોરો વળી પાછું દેવું થાય, એટલે આ કુદરત બધું ઠેકાણે રાખે છે. નહીં તો અમુક કોમના લોકોનાય મિજાજ ફરી જાય, એવી ગાળો મારે એ તો. પાડાની પેઠ મારે. કારણ કે ડેવલપમેન્ટ જરા ઓછુ છે. બહુ વિચારક નથીને ! એટલે આ બધું જ છે તે કુદરતી રીતે બરોબર છે. કુદરતને ઘેર કંઈ ખોટ નથી, પણ આ તો બધાને ઠેકાણે રાખવા માટે બધું કરવાનું. v v v (પા.૩૩૮)(૬) લોભની સમજ, સૂક્ષ્મતાએરખડાવનારો પ્રાકૃત દોષપ્રશ્નકર્તા : કેવા પ્રકારના દોષો ભારે હોય તો ઘણા અવતારો સુધી ચાલે ? અવતારો બહુ લેવા પડે એવા કયા દોષો ? દાદાશ્રી : લોભ ! લોભ ઘણા અવતારો સુધી જોડે રહે છે. લોભી હોયને તે દરેક અવતારમાં થાય એટલે એને ગમે બહુ આ. પ્રશ્નકર્તા : કરોડો રૂપિયા હોય છતાં ધર્મમાં પૈસા ન આપી શકે એનું શું કારણ ? દાદાશ્રી : શી રીતે બંધ બાંધેલા છૂટે બા ? એટલે કોઈ છૂટે નહીં. ને બંધાયેલો ને બંધાયેલો જ રહે. પોતે ખાય પણ નહીં. કોના હારુ ભેળું કરે છે ?! પહેલાં તો સાપ થઈને ફરતા હતા ને સાચવ સાચવ કરે. મારું ધન, મારું ધન કરે ! પુણ્ય, ભોગવે દુઃખમાંપ્રશ્નકર્તા : પૈસા પુષ્કળ છે પણ સારા રસ્તે વાપરી શકતા નથી. એનો અર્થ એ કે આ પાપાનુબંધી પુણ્ય છે માટે ? દાદાશ્રી : પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય ? બંગલા હોય, મોટરો હોય, છોડીઓ સારી હોય, છોકરાં હોય છતાંય આખો દહાડો નવરો ના હોય. ધૂનમાં ને ધૂનમાં, ધૂનમાં ને ધૂનમાં, ભોગવેય નહીં. એ પાપાનુબંધી પુણ્ય. પુણ્ય છે છતાં ભોગવતો નથી. અને સામો પાપ જ બાંધ્યા કરે છે. પૈસા શા હારુ ખોળવા નીકળ્યો છે ? ત્યારે કહે ‘મારે જોઈશેને એક લાખ ?’ ત્યારે કુદરતે બૂમ પાડી કે લોકોના ક્વોટા ખાઈ જવા છે તમારે ? (પા.૩૩૯)ગમે તે હો પણ અમને તો વાંધો નથી.’ એટલે લોકોનો ક્વોટા ખાઈ જવો એનું નામ લોભ કહેવાય. બીજાના ક્વોટા ઉપર તરાપ મારવી, પૈસા તો એની મેળે, પુણ્યનો ખેલ છે એટલે આવ્યા જ કરે. તમારે એને ના નહીં પાડવાની. તેમાં બૂમાબૂમ નહીં કરવાની. લાલચ નહીં રાખવાની. એ તો આવ્યા જ કરે. એ તો પુણ્યનો ખેલ છે. પાપ કર્યા હોય તો ભૂલેશ્વરમાં પૈસા હારુ ચંપલો ઘસાઈ ગયાં હોય બળ્યાં ! શેઠને સલાહ આપતો હોય ફક્કડ, પણ શેઠને સમજણ ના પડતી હોય તોય ફર્સ્ટ ક્લાસ દોઢસો રૂપિયાનાં બૂટ પહેર્યા હોય ! અને પેલાંના ચંપલ ઘસાઈ ગયેલાં હોય ! એટલે આ પાપાનુબંધી પુણ્ય બધી ! પાપાનુબંધી પુણ્ય એટલે શું ? પોતાનું પુણ્ય તો છે જ, અને નવાં પાપ ઊભાં કરી રહ્યો છે. હાય પૈસા ! હાય પૈસા !! છોડીઓ પૈણાવતો નથી, મોટી મોટી થવા આવી તોય. વહુ કહે છે, ‘આ છોડીઓનું જોતા રહેજો.’ ‘જોઈશું’ એમ કહે. હાય, હાય, હાય ! ઊંઘેય ના આવે એને બીજો કોઈ હોય તો ઊંઘે તો ખરો ! ભગવાને કરુણા ખાધી છે આ લોકોની ! અલ્યા, ના સમજણ પડે તો શું કરવા બૂમાબૂમ કરે છે ! જીવતાંય આવડ્યું નહીં ! પુણ્ય ખર્ચતાંય પુણ્યજીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણ નહીં. ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતા હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. જુઓને આ ભેલાડે છેને ! આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે એ પુણ્યાનુબંધી પુણ્ય ! સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય ! જ્ઞાની શિખવાડે...અમેય ભેલાડી દેતા હતા. તે હીરાબાને ખૂંચે. ‘તમે તો બધું ભેલાડી (પા.૩૪૦)દો છો.’ ત્યારે અમે કહીએ, ‘હવે નહીં ભેલાડું !’ પ્રશ્નકર્તા : ભેલાડવું એ શબ્દ મેં સાંભળ્યો નથી. જરા સમજાવોને ! દાદાશ્રી : અમે જમીનદાર ખરાને ? થોડી થોડી જમીનો ખરી અને ખેડૂતોય ખરા. તે કોઈ પૂછે કે, ‘શાક હમણે કેમ લાવતા નથી ?’ ત્યારે કહે, ‘ભેલાઈ ગયું હવે !’ ભેલાઈ ગયું એટલે શું ? ખેતરમાં આ ગાયો-ભેંસો ફરે તે બધું ખાઈ જાય ત્યારે આપણાથી વાંધો ના ઉઠાવાય. એ ખેતર ભેલાઈ ગયું કહેવાય ! એ ગુજરાતી ભાષાનો શબ્દ છે ! જે આવ્યો તે લઈ જાય. આપણે એવું ભેલાડવું નથી. પણ આવું જો નિયમથી પ્રમાણથી કરવામાં આવે તો ! મનુષ્ય આપણે ઘેર આવે, આપણી પાસે પૈસા હોય અને મનુષ્યોની પાછળ ખર્ચો કરવો એ દુનિયામાં બની શકે જ નહીં. આપણે ત્યાં આવવા કોઈ નવરો જ નથી, આ તો લોકોને લાભ લેતાં નથી આવડતું. મનુષ્ય જે લે છે તે તો મનુષ્ય જે આપે છે તેનાં કરતાંય કિંમતી છે, કારણ કે આપનાર હોય તોય કોઈ લે નહીં. આવતાં જ જો આપણે ભેલાડી ના દીધું તો આપણે ભેલાઈ જઈશું ! એટલે ભેલાડી દેવું જોઈએ ! હવે એ ભેલાવવા માટે શું કરે ? તમારી બુદ્ધિ એમાં કામ લાગે નહીં એટલે અમારા જેવાની તમારે મિત્રાચારી કરવી જોઈએ. ક્ષત્રિયોની જોડે ને કામ કાઢી લેવું અને તમારી (વણિકો) જોડે મિત્રાચારી કરીએ તો અમારી સેફ સાઈડ રહે. નહીં તો અમારી સેફ સાઈડ નહિ. ભેલાડ્યું શબ્દ નથી સાંભળ્યો, નહીં ? કેટલાક શબ્દો ખોવાઈ ગયા છે. તમે ભેલાડે શબ્દ સાંભળેલો ? પ્રશ્નકર્તા : હા દાદા. દાદાશ્રી : શું સમજ્યા હતા તમે ? જેનો ધણીધોરી ના રહ્યો એ ભેલાઈ ગયું કહેવાય. કોઈ એમ ના વાંધો ઉઠાવે કે આ અમારું છે ને ઉઠાવી ગયા. જેનો ધણીધોરી ના હોય એ ભેલાઈ ગયું. (પા.૩૪૧)કબીરેય કહ્યુંને કે તારી પાસે આ જે મિલકત હોય, તેમાં તું પહેલાં ખા, પી, પી એટલે બ્રાંડી-બ્રાંડી નહીં, દૂધ છે, ચા છે, પી, ખા ને ખવડાવી દે લોકોને, ને ‘કર લે અપના કામ. ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.’ માટે ખવડાવી દેજે ! સમજ પડીને ! નહીં તો આમાં નહીં જાય તો બીજે રસ્તે જતું જ રહે ! ધનનો સ્વભાવ ચંચળ છે. પાણી પાયું ગટરનેપ્રશ્નકર્તા : તો પોતાને માટે વાપર્યું કોને કહેવાય ? દાદાશ્રી : ખઈ જઈને તે પાછળ ના આવવાનું હોય તે. તમે કોઈ જગ્યાએ હપ્તા ભરો તે તો પાછું આવવાનું જ હોયને ! બેન્કમાં ડિપોઝિટ ભર્યા કરો, બીજું કર્યા કરો, પણ પાછું આવવાનું જ ને ! અને ચાપાણી ને એ બધું મંગાય મંગાય કરો તે એના પૈસા બધું ગયું ગટરમાં ! પછી પચાસ ગેલન પેટ્રોલ બાળતા હોય તોય ગટરમાં ગયું. રીત, જોડે લઈ જવાનીપ્રશ્નકર્તા : પૈસા કઈ રીતે સાથે લઈ જવાય ? દાદાશ્રી : રસ્તો તો એક જ એટલો કે જે આપણાં સગાવહાલાં ના હોય. એવાં કોઈનાં દિલ ઠાર્યાં હોય, તો જોડે આવે. સગાવહાલાંને ઠાર્યાં હોય, તોય છે તે જોડે ના આવે, પણ ખાતાં ચોખ્ખાં થઈ જાય. એમની જોડે જ ખાતાં હતાં તે ચોખ્ખાં થઈ જાય. સગાંવહાલાંને ઠાર્યાં હોય તો ! અને બીજાં સગાવહાલાં ના હોય તો એમની જોડે દિલ ઠાર્યાં હોય તો એ આપણી જોડે આવે. પ્રશ્નકર્તા : એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ? દાદાશ્રી : એ જે કહો તે, પણ દિલ ઠારવું જોઈએ. અગર તો અમારા જેવાને કહો તો લોકોને હિતકારી થાય એવું જ્ઞાનદાન બતાડીએ. એટલે સારાં પુસ્તક છપાવવાં કે જે વાંચવાથી ઘણા લોકો સારે રસ્તે ચઢે. અમને પૂછે તો દેખાડીએ. અમારે લેવાદેવા ના હોય. (પા.૩૪૨)ક્રોધ - માન - માયા - લોભપ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ એ આપણે આમ સિક્વન્સ (અનુક્રમ)માં કેમ બોલીએ છીએ ? દાદાશ્રી : એને જે જવાનો રસ્તો છે તે પહેલાં ક્રોધ ઓછો થતો જાય, પછી માન ઓછું થતું જાય, પછી કપટ ઓછું થતું જાય, પછી લોભ તો છેલ્લામાં છેલ્લો જાય. પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ છે એમાં પહેલો ક્રોધ જાય છે, પછી માન જાય છે, પછી માયા જાય છે ને પછી લોભ જાય છે. છેલ્લામાં છેલ્લો લોભ જાય છે. એવું સ્ટેપિંગ કેમ છે ? લોભ છેલ્લો કેમ ? દાદાશ્રી : એવું છેને પહેલો પેઠેલો લોભ. સૌથી પહેલો લોભ પેઠો અને એ પ્રમાણે જેવું પેઠા એવું નીકળે. પ્રશ્નકર્તા : એ કેમનો પેસી ગયેલો ? દાદાશ્રી : તપાસ કરજેને હવે ? એ તારે જોવાનું. કોઈપણ વસ્તુ તું જોઉં છું તે લેવાનું મન થાય છેને ? લેવાનો ભાવ થયો એ જ લોભ અને પછી કો’કને દેખાડવાનો ભાવ થાય કે આ હું લઈ આવ્યો છું એ માન ! પછી કોઈ લઈ લેતો હોય તો ક્રોધ કરે. પહેલો લોભ થાય. પ્રશ્નકર્તા : અને માયા ? દાદાશ્રી : માલ લેતી વખતે પેલા એકને બદલે બીજું બદલી લે, બીજું સારું હોય તે કંઈકને પેલો ધણી પેલી બાજુ જુએને ત્યારે બદલાવી નાખે તો એ કપટ કરે, એ જ માયા. લોભ થયો એટલે કપટ થાય. કંઈ પણ લેવાનો ભાવ થયો એ લોભ પછી ત્યાં છળકપટ થાય. કંઈ પણ ઇચ્છા નથી તેને કશું દુનિયામાં નડે નહીં. મિનિટે મિનિટે ઇચ્છા બંધ. ખાય, પીએ છતાંય ! એ માન્યતાએ માંડી મોંકાણ...પ્રશ્નકર્તા : દાદા, આ વખતે લોભની ગાંઠ કયા હિસાબે મળી હશે ? કયા ભાવ કરેલા ? (પા.૩૪૩)દાદાશ્રી : બીજાનું જોઈને કરે છે કે આમની પાસે જોને ધન સંઘર્યું છે તો અત્યારે હેય, મિલોબિલો બધું ચાલ્યા કરે છેને ? એટલે પોતેય ધન સંઘરે પછી. સંઘરવું એટલે લોભની ગાંઠ ઊભી થાય. બીજાનું જોઈને લોભની ગાંઠ ઊભી થાય. એણે એમ માન્યું છે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પછી દુઃખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતાં કરતાં લોભિયો એવો જ થઈ ગયો. પોતે લોભિયો થઈ ગયો. કરકસર કરવાની છે, ઈકોનોમી કરવાની છે, પણ લોભ નથી કરવાનો. લોકસંજ્ઞાથી થઈ ફસામણપ્રશ્નકર્તા : પૈસાથી જ સુખ મળે છે એવું આપણે બધાં કેમ માનીએ છીએ ? દાદાશ્રી : એ તો આખા જગતે માન્યું છે. લૌકિક ભાવે છે એ. લોકોની રીતે છે એ. લૌકિક રીતે છે. પૈસાથી સુખ થતું હોય તો બધા પૈસાવાળા સુખી જ હોય પણ કોઈ સુખી છે નહીં. ‘આનાથી સુખ મળશે’, આ હોય તો સુખ છે, નહીં તો સુખ છે નહીં. તે એનું માની બેઠેલું લૌકિક સુખ, લૌકિક માન્યતા. એટલે લોભની ગાંઠ ઊગતી જાય. ભેળું કરેલું કામ લાગેને. વારેઘડીએ ઉછીના ખોળવાની જરૂર ના પડે. એવું બધું માને. એટલે લોભની ગાંઠ વધે. લોભ બહુ હોય એટલે ભેળું કર કર કર્યા કરે ! પ્રશ્નકર્તા : કર્મ કરવાથી મળે તો ભેળું કરવાનું દાદા, કર્મ કર્યા વગર ના થાયને ! દાદાશ્રી : હા, પણ એનાથી લોભ વધતો જાયને બળ્યું ! ભેળું થવાનો વાંધો નથી, લોભ ના વધે તો વાંધો નથી. વાણિયો હોયને એટલે લોભની ગાંઠ તો હોય જ. કારણ કે એનો ધંધો જ એ. ભેળું કરવું, સેફસાઈડ, સેફસાઈડ, સેફસાઇડ ! પ્રશ્નકર્તા : પ્રકૃતિ જ એવી થઈ ગઈ હોય. (પા.૩૪૪)દાદાશ્રી : પ્રકૃતિ એવી થઈ ગઈ હોય જ. બાપદાદાના સંસ્કારથી આવેલી હોય. એના એ જ સંસ્કાર જોવા મળ્યા હોયને એટલે એને જ સંસ્કાર પછી ચાલ્યા કરે. હવે સેફસાઈડ કરે તેનોય વાંધો નથી પણ સેફસાઈડ થયા પછી ઊડાડી દેવું જોઈએ. પ્રશ્નકર્તા : પછી ના ઊડે. પછી પેલો નવ્વાણુંનો ધક્કો વાગી જાય. દાદાશ્રી : હા, પછી નવ્વાણુંનો ધક્કો વાગી જાય ! લોભ ક્યાંથી પેસે ? એની શરૂઆત ક્યાંથી થાય ? પૈસા ના હોય તે ઘડીએ લોભ ના હોય. પણ જો નવ્વાણું થયા હોય તો મનમાં એમ થાય કે આજે ઘેર નહીં વાપરીએ પણ એક રૂપિયો ઉમેરીને સો પૂરા કરવા છે ! આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો !! એ ધક્કો વાગ્યો એટલે એ લોભ પાંચ કરોડ થાય તોય છૂટે નહીં એ જ્ઞાની પુરુષ ધક્કો મારે તો છૂટે ! નવ્વાણુંનો ધક્કો...‘નવ્વાણુંનો ધક્કો વાગ્યો’ એવી કહેવત તમે સાંભળેલી ? આને નવ્વાણુંનો ધક્કો વાગ્યો નથી. આને વાગ્યો એમ કહે છેને ? એમ કહેશે. પ્રશ્નકર્તા : દાદા, સમજાવો આ ધક્કાની વાત. દાદાશ્રી : એક વણિક શેઠ હતા. બાજુના ઘરમાં એક સુલેમાન ઘાંચી રહેતો હતો ! એ ઘાંચીનો ધંધો તેલનો, તે એણે એ કાઢી નાખ્યો, એ ધંધો ના ચાલ્યો એટલે પછી શાકભાજી વેચી ખાતો હતો. શું કરે ? માર્કેટમાંથી શાકભાજી લઈ આવે ને પછી વેચી ખાય. એટલે શાકભાજીનો ધંધો સારો ચાલ્યો. લત્તો સારો હતોને ! તે રોજ પાંચ-સાત રૂપિયાની કમાણી થાય. હવે જ્યારે ઓછામાં ઓછા પગાર હતા, પચાસ રૂપિયાના, તે જમાનામાં, તેમાં આ આટલા કમાય એટલે પછી એ રાજા જ કહેવાયને ? તે પછી શું કરે ? બીબી સારું જમવાનું બનાવે. તે પાછળ વાડીમાં બીબી નીકળે, તે એક બાજુ શેઠાણી કપડાં સૂકવતાં હોય. શેઠાણી પૂછે, ‘શું કર્યું આજે જમવાનું ?’ ત્યારે બીબી જે એનું વર્ણન કરે ! ‘આજે બિરિયાની (પા.૩૪૫)બનાયા, યે બનાયા, તે બનાયા !’ ‘બિરિયાનીમાં શું નાખો ?’ ત્યારે બીબી કહે, ‘ઘીની જ બનાવીએ, તેલ-બેલ નહીં.’ એટલે આ શેઠાણીને મનમાં એવું થાય કે બળ્યું આ થોડુંઘણું સારું કરું છું ત્યાર હોરો આ શેઠ બૂમ પાડે છે, પછી કહેશે, ‘શાકેય લાવવું નથી, બાકરા મૂકો પેલા ચણાના ને તુવેરના ! રોજ શાક ના હોય. અઠવાડિયામાં બે દહાડા હોય. શેઠ લાખ્ખોધિપતિ, પણ પહેલાં આવો રિવાજ હતો આપણો. એમાં એમને દોષ નહીં, બધા શેઠિયાઓને ત્યાં આવો જ રિવાજ હતો એટલે પછી શેઠે જાણ્યું કે આ તો ઘરમાં આવો સડો પેઠો !’ શેઠે પૂછ્યું કે, ‘કેમ તમે આવું ખાવાનું પૂછપૂછ કર્યા કરો છો ? પહેલાં નહોતાં કરતાં.’ ત્યારે શેઠાણી કહે, ‘આ ગરીબ છે જોડે, પણ કેવું સરસ સરસ ખાય છે ?!’ શેઠને થયું, ‘આ મારું હારુ ટીબી કંઈથી પેઠું ! આ ટી.બી.ના જંતુઓ !’ હવે આ શેઠિયા તો બહુ પાકા હોય. સડે ત્યાંથી ડામ દેવો ! નુકસાન કોઈને દેખાડે નહીં, થાય નહીં. જાણે કે ડામ ક્યાં દેવાનો ! મારી દે ડામ ! બહુ પાકા ! હું જ ફરેલો એ આખી નાત જોડે. મને આખી નાત ઓળખે. પછી શેઠે કળા કરી. શેઠ જાણે કે આ રોગ જો પેસશે તો પછી આ શેઠાણી જોડે મારે રોજ ઝઘડા ચાલ્યા કરશે. એટલે પછી શેઠે બીજો ઊંધો રસ્તો ના લીધો, છતો રસ્તો લીધો. ઊંધો કરીને એને ઘર ખાલી કરાવવાનું કરે, એ બધા ઊંધા રસ્તા કહેવાય. આમ તો એ વણિક ખરોને ? સંસ્કાર તો ખરાને ! મહીં દોષ બેસેને એને, ખોટો. પણ એને કંઈક એવો રસ્તામાં લાવવો. એટલે શેઠે એક થેલી પાતળા લુગડાની લીધી. તેની મહીં નવ્વાણું રૂપિયા ભર્યા. પછી ઉપર મોઢું બાંધી દીધું. બાંધીને પછી ગજવામાં લઈને ગયા, ‘અલ્યા સુલેમાન, આ તાંદળજાની ભાજી શું ભાવથી આપે છે ? અને આ છે તે મેથીની ભાજી ?’ તે મેથીની ભાજીનો ઢગલો હતો એની નીચે આ થેલી ઘાલી દીધી ! અને થોડીક તાંદળજાની ભાજી વેચાતી લઈને ગયા. પછી મિંયાભાઈ તે સાંજે ધંધો પૂરો થઈ ગયા પછી મેથી ઉથામવા માંડ્યા. ઘેર લઈ જવા માંડ્યા, થોડી થોડી વધી હતીને ! ત્યાંથી ચમક્યા. અલ્લાને કુછ દિયા ! આમ રૂપિયા જેવું લાગ્યું !! અને અંદર ગોળ ગોળ લાગ્યું ! આમ માપી જોયું, આમ આમ દાબી જોયું, છે જ પૈસા એને લાગ્યું, કોઈ તો કંઈ આપી જાય ? અલ્લા સિવાય બીજો કોઈ નવરો ના હોય અત્યારે ! અને આપી જાય તો આવું ? મોઢે કહીને આપી જાય કે, (પા.૩૪૬)‘જા સલિયા આપું છું તને, વ્યાજ આપજે આટલું.’ હવે આ શેઠને કેમ પહોંચી વળાય ? શી રીતે પહોંચી વળાય ? એમ ને એમ કોયડો કાઢી નાખ્યો ! તે પછી સલિયો મહીં ઘરમાં લઈ ગયો. બીબીને કહે છે, ‘તું અહીં આવ, અહીં આવ.’ બીબી કહે, ‘અરે, મને રસોઈ બનાવવા દોને ! તમે શું કકળાટ કર્યા કરો છો ?’ ત્યારે સલિયો કહે, ‘બારણાં બંધ કરી દે અને લાઈટ કરજે.’ ‘બીબી કહે શું છે તે ?’ ‘આ છે !’ સલિયાએ કહ્યું. જોતાં જ બીબીની આંખો ચાર થઈ ગઈ ! ‘આ શું પૈસા ક્યાંથી આવ્યા ?!! કોઈના લાવ્યા તો નથીને ?’ અરે, ના, ના, ખુદાને દિયા ! શાકભાજીની મહીંથી નીકળ્યા. ખુદાને દિયા આજ તો.’ પછી એણે ધીમે રહીને ગણ્યા. ખખડે, અવાજ થાય નહીં એવી રીતે, તે નવ્વાણું થયા. પછી એણે વિચાર કર્યો કે કાલે જે વકરો આવે એમાંથી બે ખાવા માટે પેટે રાખી બીજા બધાય આમાં નાખવા. બેન્કમાં મૂકીએ એવું. આ નવ્વાણુંનો ધક્કો વાગ્યો એને ! એ લોભિયો ન હતો. રોફભેર ખાતો હતો તેને લોભિયો બનાવ્યો વાણિયાએ ! તે પછી રોજ પાંચ, છ ઉમેરે હંકે ! પછી શેઠાણીને શેઠે કહ્યું, ‘કેમ પેલી બીબીજીની વાત તમે હવે નથી કરતાં ? વઢવાડ થઈ તમારે ? વઢવાડ થઈ હોય તો હું એને કહી આવું કે લઢીશ નહીં અમારે ઘેર.’ ત્યારે શેઠાણી કહે, ‘ના હવે તો એ કહે છે કે આજે તો રોટલા ને કઢી કરી ને એવું તેવું બધું કરે છે.’ એટલે શેઠે જાણ્યું કે ગોળી વાગી ખરેખરી. આ વાણિયાને શી રીતે પહોંચી વળાય ? પેલો સલિયો લોભિયો ન હતો તેને લોભિયો બનાવ્યો. એટલે આપણાય કેટલાક લોકો લોભિયા ન હતા, તે અહીં અમેરિકામાં નાણું દેખ્યું ને તે નવ્વાણુંનો ધક્કો વાગી ગયો. વાગી જાય કે ના વાગી જાય ? પ્રશ્નકર્તા : મને નથી ધક્કો વાગ્યો હજુ દાદા. દાદાશ્રી : તારી પાસે આવ્યું જ ના હોય. પ્રશ્નકર્તા : આ ભાઈ વાણિયા છે એમને કહો કે પેલી થેલી મૂકી જાય. (પા.૩૪૭)દાદાશ્રી : એ તો કોઈ મૂકી આવે ત્યારેને ? પણ આ જે કહેવત કહેલી ને તે બહુ સારી કહેવત, અક્કલવાળી કહેવત છે. હં, મેં તપાસ કરેલી કે નવ્વાણુંનો ધક્કો એટલે શું હશે ? આ વાત કહે છે તે આપણા ઘૈડિયાઓની અનુભવની વાત હોય છે. અનુભવસિદ્ધ પ્રમાણો સાથે. જુઓને પેલો મુસલમાન ફરી ગયોને ! બીબી રોટલા-કઢી કરતી ને ખાતી થઈ ગઈને ! જો વઢવા જવું પડ્યું ? લાકડાની તલવાર ! એમ ને એમ ધીકી નાખે ! ડૉક્ટર સાંભળ્યું કે આ કળા બધી ! વાણિયાની કળા ! કેવો ધક્કો માર્યો. શાકની નીચે ઘાલી દીધું. એટલે મિંયા સમજી ગયો કે અલ્લાને દિયા. નવ્વાણુંનો ધક્કો. બહુ સારી કહેવત ! આમ સમજ બધી હોય. પ્રશ્નકર્તા : એ એવું થવાનું કારણ શું ? દાદાશ્રી : લોભ, પ્રકૃતિ જ વણિક. વણિક એટલે નિરંતર વિચાર કરી કરીને જ કામ કરે. પગલાં ભરે. વિચાર કરનારો હંમેશા લોભી થાય. દરેકમાંથી ખોળી કાઢે. શામાં નફો છે ને શેમાં ખોટ છે ! તારણ કાઢે એટલે પછી એ લોભ શી રીતે છૂટે ? ભગવાન ભુલાય. એને તો એમાં જ મજા આવે. ઇન્ટરેસ્ટ જ એમાં આવે. આમાં આ લોકોને વધતાં વધે નહીં તો લોભ શેનો થાય તે ! શેઠ શોધે સડેલાં શાકઆપણને ખબર પડે કે આ માણસમાં લોભ નથી. અને લોભિયા માણસનો લોભ તરત ખબર પડી જાય કે આ લોભ કર્યો. અહીં શાક માર્કેટમાં ઊભા રહે ને તો દેખાડું કે કેટલા માણસો શાક સારું મળે તે બાજુ જાય ને પેલી ઢગલીઓ મળે તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય. પહેલાં તો ઢગલીઓવાળા કહેતા’તા કે આ શેઠિયાઓ આવે છે તે ઢગલીઓ માટે, તે મોટા મોટા શેઠિયાઓ હઉ એ બાજુ જાય ને ઢગલીઓ ખરીદી લે. આ ટામેટાંનો શો ભાવ છે ? ત્યારે કહે ‘ચાર આના, છ આના ?’ પછી લઈ આવે. હવે એટલું જ પેણે આગળથી લેવા જાય તો સવા રૂપિયો (પા.૩૪૮)હોય. હવે આ ઢગલીઓનું શું હોય ? શાક સારું ના હોય. એક બાજુ કાપી નાખે અને પછી શાક કરીએ છીએ એમ કહેશે. આ જંતુઓને તો અમેરિકાવાળા અડતા જ નથી આવું. ઉપર કશું ના થયું હોય તોય અડે નહીં. કાગળિયું વીંટ્યું હોય તેથી ઊપડે. ઉપર પેપર વીંટ્યું નથી માટે કાઢી નાખો. અને આપણે ત્યાં ઉપર ડાઘ પડેલો હોય. મહીં જંતુ ખાતા હોય, તેનેય કાઢી નાખીને ખાય ! અરે, રીંગણામાંથી જીવડું કાઢીને પછી રીંગણું રહેવા દે છેને ! જીવડું મહીંથી કાઢી નાખે ને પછી રીંગણું રહેવા દે. લોભની ગાંઠ શું ના કરે ? એ... અત્ર, તત્ર, સર્વત્રલોભિયો સવારે ઊઠ્યો ત્યાંથી લોભ કર્યા કરે. આખો દહાડો એમાં ને એમાં જાય. ભીંડા મોંઘા ભાવના છે કહેશે. વાળ કપાવવામાં પણ લોભ ! આજે બાવીસ દા’ડા થાય છે, પૂરો મહિનો જવા દો. કશો વાંધો નહીં આવે, સમજ પડીને ! આ સ્વભાવ એટલે આ ગાંઠ એને દેખાડ દેખાડ કરે ને કષાય થયા કરે અને આ કપટ અને લોભ બેનું બહુ વસમું છે. પૈણતાંય ચિત્ત લોભમાંએટલે લોભ છોડવા માટે ભગવાને બહુ રસ્તા કર્યા. માણસને લોભ છૂટે નહીં ત્યાં સુધી ગમે ત્યાં બેઠો હોય, પૈણવા બેઠો હોય તોય એનું ચિત્ત લોભમાં હોય. ‘અલ્યા થોડો વખત આ લેડીમાં રાખ.’ ત્યારે કહે, ‘આ લેડીને પૈણીશું જ ને ? એક તો પૈણવાની જ છે ને !’ પણ પેલું ચિત્તમાં ! લોભ એવી વસ્તુ છે કે ચિત્ત એમાં ને એમાં જ રહે. એટલે ભગવાને કહ્યું કે લોભ છોડાવવા માટે એનો રસ્તો કરજો. નહીં તો લોભ નહીં છૂટે અને તમારે લોભની ગાંઠ તૂટે નહીં ત્યાં સુધી મોક્ષે જવાય નહીં. આખો દિવસ ગાળે રક્ષણમાંએક માણસ તો એટલો બધો લોભિયો કે એણે આપણે ત્યાં આવવાનું જ છોડી દીધું અને બીજાઓએ જ્યારે મંદિર માટે પૈસા આપવા માંડ્યા (પા.૩૪૯)ત્યારે એ કહે, ‘દાદા તો પૈસા લેતા નથી ને તમે શું કરવા એમને ઊંધે રસ્તે ચઢાવો છો ?’ હું સમજી ગયો કે આ માણસ બહુ લોભી છે. ચાર આનાય ના છૂટે અને એને ઘેર તમારે ત્યાં ચા પીવાની ઇચ્છા ના કરવી. પાય તો સારું કહીએ. એ માણસનો દોષ નથી. એના પર દ્વેષ કરવા જેવો નથી. એક ગાંઠ એને બિચારાને પજવે છે. એ માણસનો દોષ નથી. લોભિયો એટલે ચોગરદમ એનું રક્ષણ કર્યા જ કરે. આખો દહાડો વિચારોથી રક્ષણ કર્યા જ કરે. એનું નામ લોભિયો. શેનું રક્ષણ કર્યા કરતો હોય ? એના આત્માનું નહીં, લોભનું જ રક્ષણ કર્યા કરતો હોય, જન્મથી જ. જન્મ્યો ત્યાંથી તે મરતાં સુધી. છેલ્લા સ્ટેશન સુધી. મરતી વખતેય લોભ કરે. લોભની વાત કરે. ત્યાંય ધૂણવું પડેપાંચ-પચાસ રૂપિયા હાથમાં હોય તોય વાપરે નહીં, તોય રિક્ષાના ખર્ચે નહીં. શરીરે ચલાય નહીં તોય ! ત્યારે મેં એમને કહ્યું કે આવું ના કરો. થોડા રૂપિયા, દસ દસ રૂપિયા રિક્ષાઓમાં વાપરવા માંડો. ત્યારે એ કહે કે એ તો ખર્ચાતું જ નથી. આપવાનું થયું એટલે ખાવાનું ના ભાવે. હવે ત્યાં હિસાબથી તો મનેય ખબર પડે છે કે, ખોટું છે. પણ શું થાય પણ ? પ્રકૃતિ ના પાડે છે તે એકવાર એમને મેં કહ્યું કે પૈસાનું પરચૂરણ લોને, રસ્તામાં વેરતા વેરતા આવો ! તે એક દહાડો થોડા વેર્યા ને પછી ના વેર્યા. આમ બે-ચાર વખત વેરી નાખેને તો આપણું મન શું કરે કે આપણા કાબૂમાં છે નહીં, આપણું માનતા નથી. આ તો એમ કરીને આપણું મન-બન બધાં ફરી જાય ! આપણે ઊંધું કરવું પડે. એ તો ધૂણવું પડે. ધૂણ્યા વગર ના ચાલે. તે ઘરનાં માણસ કાબૂમાં ના આવતા હોય તો ધૂણવું પડે. એવી રીતે મનને કાબૂમાં લેવા માટે ધૂણવું પડે. લક્ષ નિરંતર લક્ષ્મીમાંલોભની ગ્રંથિ એટલે શું ? ક્યાં કેટલા છે, ત્યાં કેટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે, બેન્કમાં આટલા છે, પેલાને ત્યાં આટલા છે, અમુક જગ્યાએ આટલા છે, એ જ લક્ષમાં રહ્યા કરે. ‘હું આત્મા છું’ એ એને (પા.૩૫૦)લક્ષમાં રહે નહીં. પેલું લક્ષ તૂટી જવું જોઈએ, લોભનું. ‘હું આત્મા છું’ એ જ લક્ષ રહેવું જોઈએ. આપે ત્યારે તૂટેપ્રશ્નકર્તા : પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે લોભ બહુ રહેતો હતો. દાદાશ્રી : હા, તેથી જ લોભ રહે. ત્યાં સુધી મનમાંથીય છૂટે નહીં. એક ફેરો આપવા માંડેને ત્યારથી મન મોટું થતું જાય. પ્રશ્નકર્તા : ખબર જ ના પડે કે આ લોભ છે કે ઈકોનોમી છે. દાદાશ્રી : એ લોભ જ. પણ આ સારી જગ્યાએ વપરાયો અને એમના હાથમાંથી છૂટવા માંડ્યો. એટલે એ લોભ તૂટી ગયો, નહીં તો એ લોભ જ ત્યાં ને ત્યાં ચીતર્યા કરે. ત્યાં ને ત્યાં ચીતરે. આત્મામાં ના રહે. મૂડી ઓછી થઈ જશે ! ‘અરે, પણ જોડે લઈ જવાની છે ?’ ત્યારે કહે, ‘જોડે તો નહીં લઈ જવાની, પણ ત્યાં સુધી જોઈશે ને ત્યાં સુધી, જીવીએ ત્યાં સુધી જોઈશેને ?’ અલ્યા મૂઆ, પછી રહી જશે તેનું શું કરીશ ? પણ પેલો ભડકાટ, એક જાતનો ભડકાટ રહે. લોભ અને કરકસરપ્રશ્નકર્તા : દાદા પાસે આવતાં સુધી મને એમ લાગતું હતું કે હું કરકસર કરું છું, એ સારી વસ્તુ છે. હવે સમજાયું કે એ લોભ છે. દાદાશ્રી : નહીં, કરકસર કરવાની જરૂર હતી. ખોટે રસ્તે, પેલા સંસારમાં જતા રહે એનો અર્થ નથી. પૈસાની કરકસર ફક્ત અહીં એક આત્માની બાબતમાં નહીં કરવાની. બીજે બધેય કરકસર કરવાની. કંઈ નાખી દેવાય ? આપણને જરૂરિયાત હોય ને સ્ટેશન પર દૂધ મંગાવ્યું અને ચા બનાવાય એટલી બનાવીને દૂધ છેવટે વધી ગયું તો કંઈ નાખી દેવાય ? એ કંઈ કૂતરું-બૂતરું હોય કે ગમે તે જતો આવતો હોય તેને કહીએ લે ભઈ, આ દૂધ પી જા, કો’કને પીવડાવી દઈએ. પણ નાખી ના દેવાય. (પા.૩૫૧)પ્રશ્નકર્તા : કરકસર અને લોભની ડિમાર્કેશન કેવી રીતે કરવા ? દાદાશ્રી : લોભ એટલે તો શું ? આપણું ચિત્ત જ ત્યાં ને ત્યાં રહ્યા કરે. આપણી મૂડીમાં જ ચિત્ત રહે. ઓછા ના થાય. ઓછા ના થઈ જાય એવું રહ્યા કરે. એનું નામ લોભ અને કરકસર એટલે શું ? જતાં ન રહે વધારે. માર્કેટમાં જાય તો પાંચ મિનિટ વધારે થાય તો ભલે, પણ બહુ પૈસા ના જતા રહે એવી રીતે, પણ સારું શાક લે, એનું નામ કરકસર કહેવાય. સારું શાક લેવું ને વધારે ખર્ચ ના થાય એનું નામ કરકસર. સડેલું શાક લેવું એનું નામ કરકસર ના કહેવાય. એ લોભ કહેવાય. પ્રશ્નકર્તા : દાદા, ઘરખર્ચમાં મને એમ થાય કે થોડા પૈસા બચાવીને મૂકી દઉં. એ લોભ કહેવાયને ? દાદાશ્રી : ના, એ લોભ નહીં. જરૂરે કરીને વાપરવા માટે રાખી મેલ્યા છે, તે લોભ ના કહેવાય. એ સારા રસ્તે વપરાય નહીં, તો એ લોભ કહેવાય અને સારે રસ્તે વાપરવા માટે, પારકા માટે વાપરવામાં લોભ તૂટે. પૈસા ભેગા કર્યા છે હવે, પણ તે શામાં ગયા ? સારા કામમાં ગયા તો લોભ તૂટી ગયો. મોજશોખ ના કરો ને પૈસા ભેગા કરો એ લોભ કહેવાય. મોજીલા નહીં થવાનું. શોખીન નહીં થવાનું, પણ મોજશોખ સાધારણ વ્યવહારથી તો આમ ખાવું-પીવું ને રહેવું જોઈએ. પણ ના, એવું ના કરાય, એ લોભ કહેવાય. પણ લોભના પૈસા સારી જગ્યાએ વાપર્યા માટે એ લોભ ના કહેવાય. નહીં તો લોભ જ કહેવાય બધો. કરકસર કરે તેનો વાંધો નથી. કરકસર તો કરવી જ જોઈએ. ઈકોનોમી તો એક મોટો આધાર છે એક જાતનો. એ ખોટું નહીં પણ શરીરને બાળીને નહીં. બાકી કરકસરિયો અને લોભિયો એમાં બહુ ફેર. કરકસર તો જોઈએ જ ! લોભ ના જોઈએ. ઇકોનોમી ના હોય તો માણસ ના કહેવાય. કારણ કે એનો સાંધો મળે નહીં, તો તારો તૂટી જાય બધા. આટલા ખાતાને સપ્લાય કરવાનું, આટલા ખાતાને આમ કરવાનું, તે બધું તૂટી જાય. ઇકોનોમીમાં લોભ ના હોવો જોઈએ. (પા.૩૫૨)પ્રશ્નકર્તા : પૈસા ગજવામાં હોય છતાંય મંદિરમાં આમ નાખે નહીં, નાખવાનું મન ના થાય એ શું ? દાદાશ્રી : એ ગરીબાઈનું કારણ. અમુક સ્થિતિમાં આવી સ્થિતિ બરોબર ના હોય ત્યારે થાય. તો ફરી પૈસા હોય ત્યારે કરીશું એમ કહેવું એ લોભની ગાંઠ ના કહેવાય. લોભિયો અને કંજૂસપ્રશ્નકર્તા : લોભિયો અને કંજૂસ એ નજીકનો કહેવાય ? દાદાશ્રી : ના. કંજૂસ જુદી જાતનો. પહેલાંની ટેવ પડેલી હોય, ના હોય તે દહાડે કંજૂસાઈ કરવાની ટેવ પડેલી તે પછી આવે તોય કંજૂસાઈ કરે. એ ટેવ છૂટી જાય છે. એ તો ટેવ પડેલી છે. અને લોભિયો તો ગાંઠ છે એક જાતની, જબરજસ્ત ગાંઠ-રંગાય નહીં કશાયમાંય ! અને કંજૂસાઈ કરનારો છે તે શ્રીમંત થાય તોય ચા હલકા પ્રકારની લઈ આવે. પહેલાં લાવતો હતો એવી ! એમ નહીં કે સારી લઈ આવે ! હું તો ચા ઉપરથી ઓળખી જઉં કે પાર્ટી સારી હોય તોય ! હવે એ ઓછું બોલવાનું છે ? મનમાં સમજી જવાનું દરેક પ્રકૃતિ છેને, એનો શો દોષ ! આત્માનો દોષ નથી, એ પ્રકૃતિનો દોષ છે ! તે લોભિયો રંગાય નહીં. પેલો રંગાતો જ નથી. એ મને અજાયબી લાગી. પ્રશ્નકર્તા : પૈસા હોય ને વાપરે નહીં એ લોભી કહેવાય કે કંજૂસ ? દાદાશ્રી : એ તો કંજૂસ કહેવાય. એ તો ટેવ પડેલી. જ્યારે સ્થિતિ નરમ હોય, પંદર રૂપિયા પગાર મળતો હતો. તે દહાડે કંજૂસાઈ કરીને જ દહાડા કાઢેલા તે પચાસ રૂપિયા આવતાંય એનો સ્વભાવ જાય નહીં ! એનું નામ કંજૂસાઈ ! લોભિયો તો લાખો રૂપિયા હોય તોય એનો એ જ, રંગાય કરાય નહીં. ન રંગાય કશામાંઅને લોભિયો તો સ્વભાવથી જ એવો હોય કે કશામાં રંગાય જ (પા.૩૫૩)નહીં. કોઈ રંગ ચડે નહીં એને ! લોભિયો હોય ને તો તમારે એટલું જોઈ લેવું કે કોઈ રંગ ચઢે નહીં ! લાલમાં બોળીએ તોય પીળો ને પીળો ! લીલામાં બોળીએ તોય પીળો ને પીળો ! એટલે લોભિયો રંગાય નહીં ! તમને તો જેમ રંગીએ એમ રંગાઈ જાવ ! એટલે રંગાય એને જાણવું કે આ લોભિયો નહીં. દરેક માણસને એમ થાય કે મારામાં કંઈ લોભ હશે ? તો જોઈ લેવું કે હું રંગાઉ એવો છું કે નહીં ? આપણે આ વાત છે ને એમાં તમે રંગાઈ જાવ. વાર ના લાગે. અને લોભી તો રંગાય જ નહીં. હા એ હા કરે. આમ ઊંચો થઈ થઈને વાત કરે. બધું કરે, રંગાય નહીં. રંગનો શેડ હતો તેનો તે જ. ફરી પાછો ધોઈ નાખે, તો હતો તેવો ને તેવો જ ! લોભ વગરના બધાય રંગાઈ જાય. પાછો હસે એટલે આપણે જાણીએ કે રંગાઈ ગયા. હું જે વાત કરું ને તે સાંભળે બધીય. બહુ સારી વાત, બહુ આનંદની વાત, આમ તેમ, પણ મહીં તન્મયાકાર ના થાય. એટલે આ ઘર-બર ભૂલી જાય ને પેલા ભૂલે નહીં. એને લોભ-બોભ કશું ભૂલે નહીં. હમણે જઈશ ને પેલા આવશે તો ગાડીમાં જઈશ એમની તો પાંચ બચશે. એ ભૂલે નહીં. પેલો તો પાંચ બચવા કરવાનું ભૂલી જાય. પછી જવાશે કહેશે. પેલો કંઈ ભૂલે નહીં. એ રંગાયો ના કહેવાય. રંગાયો ક્યારે કે તન્મયાકાર થઈ જાય બધું. ઘર-બાર બધું ભૂલી જાય. તમને ના સમજણ પડી ? આ લોક નથી કહેતા કે દાદાનો રંગ લાગ્યો ? પેલાને દાદાનો રંગ ના લાગે, તું ગમે તેટલા રંગમાં બોળ બોળ કરે તો પણ. મૌલિક વાતો, દાદાનીદાદાશ્રી : આ લોભિયાની વાત નવી નીકળી અત્યારે ! પ્રશ્નકર્તા : આ વાત મૌલિક લાગી અમને પણ. દાદાશ્રી : ના, પણ ઊંચી વાત નીકળી ! હું સમજી જઉં બધાંને રંગ લાગે તે, પણ આજે લોભની વાત છે ને તે ઓળખવા માટે સાધન બહુ ઊંચું નીકળ્યું અત્યારે. મને પોતાનેય ખબર ન હતી કે આવું સુંદર સાધન છે ! લોભ કેમ ઓળખાય તે ? આ તો રેકર્ડમાંથી શું ના નીકળે ? એ કહેવાય નહીં. એવો એવો (પા.૩૫૪)તાજ્જુબ માલ ભરેલો છે બધો. આ તો બહુ ઊંચી વાત નીકળી છે. લોભિયો રંગાય નહીં. પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ છે ને એ પારાશીશી. દાદાશ્રી : લોભી એની વહુની જોડે, છોકરાં જોડે, ભઈબંધ જોડે રંગાય નહીં. બહુ ઊંચી વાત નીકળી ? આવી આવી કો’ક ફેરો સરસ વાત નીકળી જાય છે ! તમારા ગામમાં એવો કોઈ માણસ નથી કે જે કશામાં રંગાય નહીં એવો ? આ કંઈ જોડે લઈ જાવનો છે ? હવે પોતાને દેખાતું નથી ને આ શું કરીશું ? જોડે શી રીતે લઈ જઈશ ? લાવ જતાં જતાં લઈ લઈએ બૈરાંને, છોકરાંને બધું તેય નહીં ! માન તો ભોળું ?પ્રશ્નકર્તા : પણ દાદા, લોભની ગાંઠ ખબર નથી પડતી એટલે બેસી રહી છે. દાદાશ્રી : એ ખબર પડે તો તો માણસનું કલ્યાણ જ થઈ જાયને ! વણિકોને લોભની ગાંઠ હોય ને ક્ષત્રિયોને માનની ગાંઠ હોય. બન્ને ગાંઠો નુકસાનકારક છે. માની હોય તેને લોકો અપમાન આપે, માન એટલે ભોળું. એટલે સહુ કોઈ ઓળખી જાય ને શું જોઈને છાતીઓ કાઢીને ફરો છો ? એવું કહે. માન ભોળું. માન માટે તો રસ્તે જનાર કહેશે, ‘ઓહોહો ભઈ, શું કરવા આટલા બધા ટાઈટ છો ?’ પ્રશ્નકર્તા : લોભવાળાને માન આપીને લોભની ગ્રંથિ તોડવાની, પણ આ માનની ગ્રંથિ કેવી રીતે તોડાય ? દાદાશ્રી : માનની ગ્રંથિ તો આ લોકો એની મેળે તોડી આપે. એ અપમાનથી તૂટે ને ! નહીં તો માન તો સહુ કોઈ દેખાડ દેખાડ કરે. ભોળું એટલે નાનાં છોકરાં હઉ સમજી જાય કે માનમાં આવી ગયા છે. (પા.૩૫૫)અને પાછું શું થાય ? બહુ લોભિયો હોય ને તે અપમાન ખમીને, સો રૂપિયા મળતા હોય તો હસે અને મનમાં એમ સમજે કે મેલો ને છાલ, આપણને તો મળે છેને ? એ લોભની ગાંઠ. અને માની તો બિચારો માને ચઢાવે એટલે વાપરી નાખે, એની પાસે જે હોય તે. પછી તેને અપમાનનો ભય બહુ લાગે. કોઈ મારું અપમાન કરશે તો ? અપમાન કરશે તો ? તેનો ભય બહુ તેને લાગે. માની તો તમે જાવને તો તમને દેખીને કહેશે, ‘આવો પધારો’ કારણ કે પોતાને જેવું જોઈએ એવું જ સામાને આપે. હવે માનની ગ્રંથિઓ તો તૂટી જવાની છે. કારણ કે તન-મન અર્પણ કરી દેવાનું છે, એટલે માનની ગ્રંથિ તૂટી જવાની છે. પણ લોભની તૂટવી જોઈએ. લોભની ગ્રંથિઓ ના છૂટે તે. આ લોભની ગ્રંથિઓ કોણ તોડી આપે ? આર્તધ્યાન ને રોદ્રધ્યાન આખો દહાડો કર્યા કરે ! કષાયો પર પ્રકાશદ્રષ્ટિ ભૌતિક તરફ છે એટલે એવી દ્રષ્ટિ ભૌતિકથી છૂટતી નથી. એટલે અમે સમજી જઈએ કે આને કઈ ગાંઠ છે આ ! એ ગાંઠ છોડાવવા માટે પ્રયત્ન કરીએ. ચાર પ્રકારની ગાંઠો હોય, તેના આધારે આ જીવો એ દ્રષ્ટિ છોડતા નથી. આપણે છોડાવવા પ્રયત્ન કરીએ. એ પોતેય કહે કે મને આ દ્રષ્ટિ નથી ગમતી છતાં પેલી ગાંઠ છે તે પકડી રાખે. એ ચાર પ્રકારની ગાંઠો છે : ક્રોધ, માન, માયા, લોભ. હવે મનની ગાંઠ હોય તે તો સવારથી જ નક્કી કરે કે શું કરું તો આજે મને માન મળશે, માન ક્યાં મળશે. એની આખો દહાડો ગણતરી હોય જ. અને માન મળવાનું હોય ને તે દહાડે આજુબાજુવાળાને લઈ જવા ફરે ! આવજો મારી વાડીમાં ! ચા હઉ પાય ઘરની. એનું માન દેખાડવા માટે કરે કે ના કરે ? એ માનની ગાંઠવાળાને અમે ઓળખી જઈએ કે આ માનની ગાંઠ છે. બીજી લોભની ગાંઠ. મોટામાં મોટી ગાંઠ લોભની. જો લોભ ના છૂટે (પા.૩૫૬)તો દ્રષ્ટિ ના બદલાય. એટલે અમે શું કરીએ ? મોટા માણસોની લોભની ગાંઠ આમ તોડીએ, હથોડા મારીને. જો તૂટી તો ઠીક નહીં તો આપણે ક્યાં એની પાછળ પડીએ ! તૂટી ગઈ તો કામ થઈ જાય. નહીં તો એમાં ને એમાં જીવ હોય આખો દહાડો ! એમાં ને એમાં જ જીવ. ગાંઠ તૂટી ગઈ તો રાગે પડી જાય. એટલે આ ચાર ગ્રંથિઓ તૂટતી નથી માણસની. ગ્રંથિભેદ થાય નહીં ત્યાં સુધી નિર્ગ્રંથ થાય નહીં એટલે અમે સીધા માણસની સાથે વાત જ ના કરીએ. પણ જાણ્યું કે આ ગાંઠવાળો છે તે મારીએ હથોડી ઉપરથી જરા. તેમ છતાં ના છૂટે તો હસીને વાત કરીએ જરા. પછી શું કરીએ તે ? આપણે તો આપણી ફરજ બજાવવી. આપણે કોઈ ઝઘડો કરવા નથી આવ્યા. પ્રશ્નકર્તા : માન અને લોભની, બેની વાત કરી તમે. ક્રોધ અને માયા રહ્યું. દાદાશ્રી : હવે જે કપટ છે તે લોભની ગ્રંથિ મજબૂત કરવા હારુ છે એ ગુરખા રાખેલા છે. લોભની ગ્રંથિને કોઈ તોડી ના જાય એટલા હારુ રાખેલા છે. તે આપણને શું કરે ? અમારી ઇચ્છા તો છે, થોડા વખત પછી કરીશું, એમ કરીને આપણને અણી ચુકાવડાવે અને અણી ચૂક્યા એટલે સો વર્ષ જીવે પછી. એટલે અમે જાણીએ કે આ કરવા માંડ્યું કપટ. એટલે અમે ખસી જઈએ. અમારે કપટ ના કરવું હોય. તું કર, ફાવે તો... આપવું હોય તો આપ ને ના હોય તો અમારે કંઈ નહીં ! પણ એ અણી ચુકાવડાવે આપણને અને એ ચુકાવડાવે ત્યાંથી અમે સમજી જઈએ કે આ અણી ચુકાવડાવવા માંડી. અને મારે ક્યાં ઘરના માટે લેવાનું. તે તારા હિતને માટે. મારે તો લેવુંય નથી ને દેવુંય નથી. અને એવું નથી કે તારા વગર અટકી પડ્યું છે. એ તો આપનારા બીજા મળશે. ફક્ત તારા હિતને માટે જ આ હથોડી મારું છું. કો’કને જ મારું. સોમાં એકાદ માણસને મારું. કારણ કે હું જાણું કે આ અહીં લોભની ગાંઠ છે. તે હથોડી મારી આપું ! એટલે થઈ ગયું ! વાત સમજાઈ ? એ દેખાવો મુશ્કેલઆ તમારે માન અને લોભ બેઉ ખરું. માન ખરું. એટલે અમે કશું (પા.૩૫૭)ના કરીએ. હું જાણું કે લોભને આ માન જ મારશે. ક્ષત્રિયપણું ને એટલે માની બહુ જબરજસ્ત ! એટલે એ લોભની ગાંઠ છેદી જ નાખે. બાપા મરી ગયા એટલે એય પાંચ-દસ હજારનું વાપરી નાખે. અને લોકોય જમણનું શીખવાડે. પ્રશ્નકર્તા : પણ કેવી ગોઠવણી કરી છે આ બધી ? દાદાશ્રી : ગોઠવણીમાં અમે તારણ કાઢી લઈએ. અમુક અમુક મહાત્માને માટે હું કશું કહું નહીં. લોભની ગાંઠ એક એના પર ધ્યાન રાખ્યા કરું કે લોભની ગાંઠ કામ કરે છે. એનું કલ્યાણ ના થાય ને નુકસાન થાય. પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ મને છે એમ ધ્યાનમાં આવવું એ પણ બહુ ડિફિકલ્ટ છે. દાદાશ્રી : ધ્યાનમાં આવે નહીં તો એ તૂટે શી રીતે ? માનની ગાંઠ તૂટે. કોઈ અપમાન કરનારો મળી આવે અને બીજું કોઈ મોઢે એમ કહેય ખરા કે આટલો બધો શેના હારુ અહંકાર કરો છો ? પણ લોભમાં એના ધણીને જ ખબર ના પડે. ભાન જ ના રહે. ત્યાં ચઢે તાવમનમાં પૈસા આપવાનો ભાવ થાય કે આપીએ, પણ અપાય નહીં એ લોભની ગાંઠ. પ્રશ્નકર્તા : સંજોગો એવા હોય કે આપવાનો ભાવ હોય છતાંય અપાય નહીં. દાદાશ્રી : એ જુદું છે. એ તો આપણને ખબર પડે કે આ સંજોગો એવા છે, પણ એવું હોતું નથી. આપવાનો નિશ્ચય કરીએ તો અપાય એવું છે. પ્રશ્નકર્તા : હા, પણ હોવા છતાં ના આપે. દાદાશ્રી : હોય તોય પણ ના અપાય, અપાય જ નહીંને, એ તો બંધ તૂટે નહીં. એ બંધ તૂટે તો તો મોક્ષ થાયને ! એ સહેલી વસ્તુ નથી. (પા.૩૫૮)પ્રશ્નકર્તા : એમ તો બધાની લિમિટમાં અમુક શક્તિ આપવાની તો હોય જ ને ? દાદાશ્રી : ના, એ લોભને લીધે ના હોય. લોભિયાની પાસે લાખ રૂપિયા હોય તોય ચાર આના આપવા મુશ્કેલ પડી જાય. તાવ ચઢી જાય. અરે પુસ્તકમાં વાંચે કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કરવી. એ વાંચે તે ઘડીએ એમ તાવ ચઢી જાય કે આવું શું કરવા લખ્યું છે ! ના હોય ત્યાં સુધી જમૂળ પાછી વણિક ગ્રંથિને. પૈસા પર મદાર એટલે એ લોભ તૂટે કેવી રીતે ? પ્રશ્નકર્તા : આ લોભની ગાંઠ બધામાં હોય જ. દાદાશ્રી : હોય જ. તમારા ક્ષત્રિયોમાં ના હોય. તમારામાં ગરીબ હોય ને ત્યાં સુધી હોય. પછી શ્રીમંતાઈ આવે ત્યારથી તૂટેલી જ હોય, કારણ કે ક્ષત્રિયપણું હોય. પટેલોને જ્યાં સુધી ગરીબાઈ હોય ત્યાં સુધી લોભની ગાંઠ હોય. પછી છૂટ્યું એટલે પછી રાજેશ્રી હોય. મન સ્વભાવથી જ રાજેશ્રી હોય. અને લોભની ગાંઠ તૂટી જાય પછી. ના હોય ત્યાં સુધી લોભ કર્યા કરે. પછી આવ્યું કે ઉડાડે. પણ તોય ધર્માદા આપતાં વાંધો. વાહ-વાહ કરે ત્યાં ખર્ચો કરે ! હું પોતે જ વાહ-વાહ થાય ત્યાં કરતો હતો. વાહ-વાહ માટે ધૂળધાણીમારાથી ધર્મમાં પૈસો વપરાતો ન હતો. ને વાહ-વાહ કરે ત્યાં પાંચ લાખ આપી દઉં, માનની ગાંઠ કહેવાય. વાહ-વાહ, વાહ-વાહ ! અલ્યા એક દહાડો રહ્યું કે ના રહ્યું. કશુંય નહીં. પણ ના, એમાં ગમે. ટેસ્ટ પડે. મેંય શોધખોળ કરેલી કે મન મોટું છે ને આવું કેમ થઈ જાય છે ચીકણું ? પણ વાહ-વાહમાં મન મોટું હતું. શોધખોળ કરવી જોઈએને કે આપણું મન કેવું છે તે ? આ મનની ગાંઠ કેવી ? ના હોય ત્યાં સુધી ભાંજગડ નહીં અને (પા.૩૫૯)વીસ લાખ આવેને તો ઓગણીસ લાખ લખે એવો. વીસેવીસ નહીં, પણ ઓગણીસ શા હારુ ? પેલા ભાઈ કહેશે, જરા તો વિચાર કરો, તો કહે, ‘લે, આ લાખ રહેવા દીધા !’ પ્રશ્નકર્તા : દાદા, એ માનની ગાંઠ કહેવાયને ? દાદાશ્રી : હા, માનની ગાંઠ ! એ માનની ગાંઠ વાહ-વાહ થાય ત્યાં આપે. ધર્મમાં ના આપે. પ્રશ્નકર્તા : એવી ગાંઠ તો વાણિયામાંય હોય છે. વાહ-વાહ થાય, તકતીમાં આવે ત્યાં આપે. દાદાશ્રી : હોય, હોય તો ખરી પણ એ વાહ-વાહની આમના (ક્ષત્રિયો) જેવી ના હોય. એ પૈસા ધૂળધાણી ના કરી નાખે. વાહ-વાહની તો હોય જ. પણ પેલી મોટી ગાંઠ નહીં. આમના જેવી નહીં. વણિકમાં લોભની ગાંઠ મોટી અને ક્ષત્રિયોને વાહ-વાહની ગાંઠ મોટી. બન્ને ગાંઠ નુકસાનકારક છે. હોય છતાં ન વાપરેપ્રશ્નકર્તા : લોભની એવી કઈ ગાંઠો પડી હોય કે વાણિયા લોકોને વધારે ને પટેલ લોકોને આ રીતની હોય ? દાદાશ્રી : એ તો એવું છે, આ બ્રાહ્મણમાં લોભની ગાંઠ ના હોય આવી. એ લોભિયા ખરા, પણ તે નહીં હોય તે બદલના. સમજ પડીને ! ગાંઠ ભેગી કરીને ખાય-પીવે નહીં. ને ગાંઠ કર કર કર્યા કરે. એ લોભને ભગવાને લોભ નથી કહ્યો. પૈસો હોય જબરજસ્ત તોય છે તે વાપરે નહીં એ લોભ. મારવાડીમાં કપડાં જોઈએ તો સારાં ના હોય અને આપણાં લોક તો (પટેલો) ત્રણસોની સાડી હોય તોય પેલી કહેશે કે ‘તેરસોની લાવું ?’ ત્યારે ધણી કહે, ‘હા, લાવને તું સારી દેખાય તો મારે સારું !’ અને પેલી જેવી દેખાય તેવી પણ પૈસા ના જવા જોઈએ ! પણ મારવાડીમાં એક ગુણ હોય કે દસ લાખ કમાયો હોય તો દોઢ લાખ ભગવાનને ત્યાં નાખી આવે. આ દરેક મારવાડીનો ગુણ. બીજે બધે વાપરે નહીં. પણ ભગવાનને ત્યાં નાખી આવે. આ તેથી આવ્યા કરેને ! પણ એ વહુએ કેવી સાડી (પા.૩૬૦)પહેરી છે એ ક્યારેય ના જુએ ! એ તો રાત-દહાડો પૈસામાં ને પૈસામાં રહે ! સાત લાખ પેલા છે, પેલા સિક્યોરિટીમાં ત્રણ લાખ છે, દસ અને ત્યાં એકાદ આવે તો ખરું. અને પછી તો હેંડ્યા ! તે ઘડીએ ચાર નાળિયેર છોકરો લઈ આવે ! પાણી વગરનાં બાંધજો કહેશે. આ બેભાનપણે ભોગવાઈ જાય છે ! અને વધારે મૂકીને જાય તો શું થાય ? છોકરાં દારૂ પીતાં શીખે એને તો કામમાં ને કામમાં જ રહે એવી રીતે રાખવાનો. રોકડું હાથમાં ના આવે, ધંધો આવે, બીજું આવે, રોકડું ના આવે. એ તો થોડું દેવું આપવું. લાખ રૂપિયાની એસેટ આપવી અને પચાસ હજારનું દેવુંયે આપવું ! સમજ પડીને ? એટલે ઘડતર થાય છોકરાનું. ત્યારે મન પાછું પડેલોભની ગાંઠ તૂટવી બહુ મુશ્કેલ છે. પ્રશ્નકર્તા : હોવા છતાં ના અપાય. દાદાશ્રી : ના અપાય, ના અપાય. એ ક્યારે લોભની ગાંઠ તૂટે એકદમ સરકારે વેરો નાખ્યો હોય, અગર ચોર લઈ ગયા હોય, દસ-વીસ હજાર રૂપિયા, ત્યારે લોભ છૂટે કે બળ્યું, આના કરતાં સારી જગ્યાએ વાપર્યા હોત તો સારું. પ્રશ્નકર્તા : પણ મૂળથી ગાંઠ છૂટે નહીંને દાદા ! દાદાશ્રી : ના તૂટે, ના તૂટે. છતાં એક મોટા માણસે મને કહ્યું,તું કે ‘મારે લોભની ગાંઠ બહુ છે, તે તોડી આપો !’ મેં કહ્યું, ‘ભાઈ, આ એવું નથી કે આ સૂરણની ગાંઠની જેમ કપાય.’ ‘તોય પણ તમે કંઈક કૃપા કરોને !’ મેં કહ્યું, ‘આમાં બે વસ્તુ છે. કાં તો અમારા કહ્યા પ્રમાણે નાખી દો, કાં તો તમને ખોટ આવે. વીસ લાખનું સાધન હોય તો આઠ-દસ લાખની ખોટ આવે તો ચડી ચૂપ ! સડસડાટ ! હવે કશું પૈસાય નથી જોઈતા. બળ્યું, હવે મેલો પૂળો ! આ ધંધા હવે નથી કરવા. હવે ખાવા એકલું મળી રહે સારી રીતે, આબરૂભેર, તો બહુ થઈ ગયું. આપણે તો હવે ખાઈ-પીને મોજ કરો અને (પા.૩૬૧)આપણે આ ધરમ કર્યા કરો. પણ જ્યાં સુધી ખોટ નથી ગઈ, ત્યાં સુધી શું થાય ? ખોટ, છતાં તારેજે લોભિયો ડૂબવાનો હોયને, તે ખોટ ના આવવા દે અને તરવાનો હોય તે ? ખોટ આવવા દે એટલે તરે પાછા. ખોટ આવે તો ફરી જાય એટલે આપણે આશીર્વાદ શું આપીએ ? કે કોઈને ખોટ ના જશો, પણ ના. લોભિયાને તો ખોટ જજો જ ! એક ભાઈની લોભની ગાંઠ જતી ન હતી. તે મને કહે છે, દાદા, આ લોભની ગાંઠ કાઢી આલોને ! તે ના ગઈ તો ના જ ગઈ. મેં કહ્યું કે ખોટ આવશે તો જતી રહેશે. ધંધાદારી માણસ તો છો જ. તેમનું કોટનનું કામકાજ ચાલે. તે પેઢી અમદાવાદમાં, એક ફેરો એક પાર્ટી જ આખી પંદર લાખ રૂપિયા દાબી ગઈ, તેની સાથે આય પાર્ટી બેસી ગઈ, હડહડાટ ! મેં કહ્યું લોકોને આપી દેજો. થોડું થોડું કરીને આપી દેજો. તે એમણે બધું ચૂકવી દીધું. ને લોભની ગાંઠ એમની જતી રહી. મોટી ખોટ આવશેને તે આવવી જ જોઈએ ત્યારે એ જાય. પંદર લાખ બેસી ગયા ! નવ્વાણુના ધક્કાથી લોભની ગાંઠ શરૂ થઈ જાય પણ નવ્વાણુનો ધક્કો વાગે તોય જે દિલનો રાજા છે, એને ગાંઠ બંધાય નહીં, દિલનો રાજા હોયને તે આવતાં પહેલાં વાપરી ખાવાની ટેવ પડેલી હોય, ના હોય તો સારું. આ ખાલી હાથે પણ દિલના રાજા સારા. લોભની ગાંઠ તો ના બંધાય વળી ! બહુ ખોટી લોભની ગાંઠ ! જાત્રાથી લોભ કપાયલોભિયાની ગતને લોકો સમજી શકતા નથી. કૃપાળુ દેવ સારું સમજી શક્યા. તે એટલે સુધી કે જાત્રાએ જવાથી લોભની ગાંઠ કપાય. તમે વાંચેલું ? પ્રશ્નકર્તા : હા, તીર્થયાત્રામાં પૈસા ખર્ચ્યા એટલે. દાદાશ્રી : એટલે પૈસા ઓછા થાય એટલે એ ગાંઠ કપાય. જે તે રસ્તે પૈસા આમનાથી નખાવડાવો. (પા.૩૬૨)પ્રશ્નકર્તા : આ કેવું ઓપરેશન કહેવાય ? દાદાશ્રી : જે તે રસ્તે ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી નખાવડાવજો. માની હોય તેને કશી જરૂર નથી. માનીને કશું વઢવાની જરૂર નથી. માની ના હોય તે નફ્ફટ થઈ ગયેલો હોય, તો લોભ ચઢી બેઠેલો હોય ! વગોવો નિજ લોભનેપ્રશ્નકર્તા : તમે જે કહો છો કે મૂઠી ના છૂટે એ તો અનેક જન્મોના સંસ્કાર પડેલા, કોઠીમાં ભરેલો માલ એ જ આવેને ? દાદાશ્રી : ભરેલા માલને આપણે પછી શું કરવાનું ? ભરેલો માલ ! ભરેલો જ નીકળે. પણ આપણે પોતાની જાતને કહેવાનું કે અરેરે, આવું તમે કર્યું, આવું તમે કર્યું, આમાં શું સારું કહેવાય ? આપણે ઊલટા વઢવાનું, ત્યારે લોભથી છુટાય. આપણે છૂટીએ. લોભને વગોવીએ ત્યારે લોભથી છુટાય. પેલો તે લોભને વખાણે છે. બીજો લોભિયો મળે તો એને ગમે. અરે, લોભ તો કેટલે સુધીનો ? ચામાં જરાક અમથી ખાંડ નાખે તો ચાલે. પછી એને મન બદલાઈ જાય પછી. બધામાં લોભ ખાવા-પીવા, કપડાં-લત્તાં બધામાં લોભ ! જ્ઞાનીને પણ ના ગાંઠેપ્રશ્નકર્તા : એક ભાઈ મારી પાસે આવ્યા’તા. મને કહે છે, ‘મારી પાસે પાંચ લાખ રૂપિયા છે અને અમે બે જ જણ છીએ. છોકરો તો બધું બહુ કમાય છે. પણ મારી લોભની ગાંઠ જતી નથી.’ આજે દાદા પાસે આવવાના હતા પણ આવ્યા નથી. દાદાશ્રી : એ તો એક માણસ મને કહેતો’તો કે મારી પાસે સિત્તેર લાખ રૂપિયા છે અને મારે પચ્ચીસ લાખ રૂપિયા કંઈક સારી જગ્યાએ વપરાય એવું કંઈક થાય તો કરવું છે પણ મારી લોભની ગાંઠને લઈને ચાર આનાય અપાતા નથી, મારાથી. તે મેં એમને કહ્યું, તમે અહીંયા આવતા રહેજો. તે એકાદ-બે ફેરો આવ્યા, ને પછી આવ્યા જ નહીં. અહીં ગમે તે ખરું, બધુંય ગમે. લોભની ગાંઠ ને, એમને ના આવવા દે. એ ગાંઠ પછી પોતે વાળેલી. દવા ચોપડતા જાય ને પડીકું વાળતા જાય. (પા.૩૬૩)પ્રશ્નકર્તા : એણે ભારે કરેલી. દાદાશ્રી : એટલે મજબૂત કરેલી, ઊખડે નહીં, તે લોભની ગાંઠ ના છૂટે. નાનો અમથો લોભ, પણ એને કાઢવા માટે... હવે હું શી રીતે લોભ છોડી આપું ? અમારા કહ્યા પ્રમાણે તો ચાલવું નથી. લોભ છોડવા માટે જ્ઞાની પુરુષ કહે એ રીતે તું પૈસા નાખ. પસ્તાવો કરે ઢીલુંલોભ તૂટવાના બે રસ્તા ખરા. એક જ્ઞાની પુરુષ તોડાવી આપે, પોતાના વચનબળથી. એક જબરજસ્ત ખોટ આવે તો છૂટી જાય કે મારે કંઈ કરવું નથી, હવે આટલા જે હોય તે નભાવી લેવું છે. મારે કેટલાય લોકોને કહેવું પડે છે કે ખોટ આવે ત્યારે લોભ છૂટે. નહીં તો લોભ છૂટે નહીં. અમારા કહેવાથીય ના છૂટે. એવી ઘોડાગાંઠ પડી ગયેલી હોય. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ તોડી આપે પણ પોતાના ભાવ થવા જોઈએ, લોભ દ્રષ્ટિગોચરમાં આવવો જોઈએ. લોભ એ પીડા છે એવું માન્યતામાં આવવું જોઈએને ? દાદાશ્રી : માન્યતામાં એવું આવેલું તોય નથી છૂટતું. કારણ કે ગાંઠ વાળી લીધી એટલે હવે શું થાય ? પસ્તામણ થાય. પસ્તાવો થતાં હલકું થતું જાય. લોભિયાને ગાંઠ ખોટથી ગયેલી. અગર તો જ્ઞાની પુરુષની આજ્ઞા જો થાય તો ઉત્તમ. આજ્ઞા પાળવા તૈયાર ના હોય તેને કોણ સુધારે ! ને આમ ગ્રંથિ છેદાય...જાતજાતની ગાંઠો આ શરીરમાં પડેલી છે બધી. ગ્રંથિઓ નિર્મૂળ થાય ત્યારે નિર્ગ્રંથ થાય. ગાંઠો છેદી છેદીને નિર્ગ્રંથ થાય. ઓળખે તો જ છેદાય. પ્રશ્નકર્તા : ક્રમિકમાં દોષ કાઢવા પડે અને અક્રમમાં દોષ જોવાથી નીકળી જાય. દાદાશ્રી : દોષ જોવામાં આવે પોતાનો. દોષ કો’ક દા’ડો જોવામાં (પા.૩૬૪)આવી ગયો. કો’કને દેખાડવો ના પડે ને જતો રહે. પ્રશ્નકર્તા : પોતે જાગ્યો એટલે પેલો ચોર એની મેળે ના રહે. દાદાશ્રી : એની મેળે જતા રહે. એટલે આ જોવાથી બધી ગાંઠો ઓગળી જાય. પણ ભારે ગાંઠ એવી હોય છે કે તે જોવાનું યે ત્યાં આગળ થાપ ખવડાવી દે છે. તેને અમે ત્યાં આગળ સળી કરીએ. જોવામાં ય થાપ ખવડાવી દે. દેખાય જ નહીંને ! એમાં જાગૃતિની જ જરૂરએને માટે એક પણ ખરાબ ભાવ નહીં આવવો જોઈએ, એનું નામ સંયમ. અને એના પર ખરાબ ભાવ આવ્યો હોય તો તરત તે ધોઈ નાખે એનું નામ સંયમ ! જે સંયમમાં રહેતા નથી તે પછી ઘડાયને ! જ્ઞાન લીધા પછી તો સંયમની જરૂર. એટલી બધી જાગૃતિ હોય તો વાંધો નથી. જે થાય એ જાગૃતિપૂર્વક જતું રહે, તો તો એને આખું વિજ્ઞાન ફિટ થઈ ગયું કહેવાય. જાગૃતિ હોય નહીં ને ગાંઠો મહીં ભારે, એને શી રીતે જાગૃતિ રહે ? પ્રશ્નકર્તા : જાગૃતિ ગાંઠોની જવાબદારી નથી લેતી. દાદાશ્રી : લેવા ફરે પણ ગાંઠ જ ન લેવા દે ત્યાં આગળ. ગાંઠનો પડછાયો એની ઉપર હોય. જાગૃતિનું અજવાળું ગાંઠ ઉપર પડવું જોઈએ તેને બદલે ગાંઠોનો પડછાયો એની ઉપર પડે. હવે શી રીતે પહોંચી વળાય ? ઓગળે ગાંઠો, સત્સંગથી જઆ જનરેશન બહુ ગાંઠો નથી લાવી. મોહની જ ગાંઠો છે. લોભની કે એવી તેવી ગાંઠ નથી. તે તમારા છોકરાને જોતા હશોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગાંઠો બીજી નથીને ? આ આજની જનરેશનો બધી ગાંઠવાળી નહીં. અમારી આગળની જનરેશનો બહુ જ ગાંઠોવાળી ! લોભની ભારે ગાંઠો ! એટલા હારુ ચોરી કરે, જૂઠું બોલે, લુચ્ચાઇ કરે, બધું (પા.૩૬૫)જ કરે, પેલી ચોરી નહીં. પકડાય છે એવી ચોરી નહીં. માનસિક બુદ્ધિથી ટ્રિકો લડાવે. પેલી ચોરી કરતાં આ ચોરી ખોટી કહેવાય. પકડાયો નથી એટલું જ. સત્સંગમાં રહીએ તો જ ગાંઠો ઓગળે. નહીં તો સત્સંગમાં હોઈએ નહીં ત્યાં સુધી ગાંઠોની ખબર પડે નહીં. સત્સંગમાં રહીએ એટલે પેલું નિર્મળ થતું દેખાય. આપણે છેટા રહ્યાને ! બહુ છેટા રહીને જોઈએ નિરાંતે. એટલે આપણને બધા દોષ દેખાય. પેલું તો ગાંઠોમાં રહીને જોઈએ છીએ. તે દોષ ના દેખાય. તેથી કૃપાળુ દેવે કહ્યું, ‘દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય !’ હવે બદલાવો ધ્યેયઅનંત અવતારથી આનું આ જ કરેલુંને ? અને આનાથી જ લોભથી જ મારે શાંતિ રહે છે એવું એને મનમાં ફિટ થઈ ગયેલુંને. હવે એ લોભેય કોઈ ફેરો માર ખવડાવે છે. અને આનાથી શાંતિ રહે છે ને સુખ થાય છે. આત્મા થયો ત્યારે પછી પેલો લોભ છૂટતો જાય. અત્યાર સુધી છેલ્લું સ્ટેશન લોભ હતો, હવે છેલ્લું સ્ટેશન આત્મા આવ્યો એટલે એની મેળે પ્રવૃત્તિ બદલાતી જાય ! સમર્પણનું સાયન્સતમે જે પામવા માગો છો તે મારી પાસેથી ક્યારે પામો ? મારી નજીક ક્યારે આવી શકાય ? તમારી વહાલામાં વહાલી ચીજ મને અર્પણ કરો ત્યારે. સંસારમાં, વ્યવહારમાં જે વહાલી ચીજ છે તે મને અર્પણ કરો તો નજીક આવી શકાય. તમે તો આ મન, વચન, કાયા મને અર્પણ કર્યા. પણ હજુ એક ચીજ બાકી રહી ગઈ, લક્ષ્મી ! એ તમે અર્પણ કરો તો નજીક આવી શકાય. હવે મારે તો જરૂર ના હોય. એટલે અમને કેમની અર્પણ કરો ? ત્યારે કહે કે એવો કંઈ રસ્તો નીકળે તો અર્પણ કરી શકાય ! એટલે આ ગઈ સાલ તમે લક્ષ્મી આપી ત્યારથી તમારું વધારે ચોંટ્યું એવું તમને લાગે છે ? પ્રશ્નકર્તા : હા, દાદા. (પા.૩૬૬)દાદાશ્રી : એ આ જ કળા આની, નહીં તો ચોંટે નહીં. છૂટું ને છૂટું જ રહ્યા કરે. હવે આપણે ત્યાં તો પૈસા લેવા માટેનું કશું હતું જ નહીંને ! આપણે તો લેતા જ ન હતાને ? ત્યાં સુધી મન છેટું ને છેટું જ રહ્યા કરે. પૈસાની બાબત આવી એટલે ત્યાં ચોંટ્યું હોય મન. નહીં તો મન ત્યાંથી ઊખડી જાય, જ્ઞાની પુરુષ ઉપર લોકોની પ્રીતિ હોય, એટલે જ્ઞાની પુરુષ કહેશે કે તું આમ બહાર નાખી દે ! લક્ષ્મી ઉપરનો પ્રેમ ઘટ્યો કે આત્મા થઈ ગયો ! બીયાં, પણ ખઈ જવાય ?પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાની પુરુષ જ્યારે એમ કહે કે તું નાખી દે અને તેમ ના થાય તો એ કેવા પ્રકારનો લોભ હશે ? દાદાશ્રી : ના કરે, પણ તોય થોડું ઘણું કંઈક કરે, એટલે કંઈક થોડી ગાંઠ છૂટીને ઢીલી થઈ જાય. કરે ખરો, કારણ કે હિસાબ કરે કે અમને પોતાને કશું જોઈતું નથી અને મેં પૂર્વે કંઈક કરેલું છે તો આ ભવમાં મળેલું છે તો ફરી ખેતરમાં નાખીશ. ખેતરાં એમ ને એમ પડી રહે એના કરતાં દાણા પૂરતાં નાખી આવવા જોઈએ કે બધા ખઈ જવા જોઈએ ? બધા દાણા ખઈ જવા જોઈએ કે થોડા ખેતરમાં નાખવા જોઈએ ? એ અમારા પટેલો તો બધા ખાઈ જાય ! અને ભોળા લોકો ! અને તમે લોકો તો પદ્ધતિસર. તમે જાણો કે આપણા પોતાને માટે રાખવાના છે. ત્યારે ચોંટે ચિત્ત ભગવાનમાંકૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કર્યા વગર મોક્ષ નથી. હવે જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ? પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ને ધનને કંઈ કનેક્શન જ નથી લાગતું. દાદાશ્રી : ત્યારે તનની સેવા એમને શું કરવી છે ? પ્રશ્નકર્તા : તનથી તો એ નોખા છે. આ તો સામાના ભલા માટે છે. દાદાશ્રી : તમારા પોતાના માટે કરવાનું છે. ધનને શું કરશો ? લોભની ગાંઠ તમારી તૂટે એટલે જ્ઞાની કહે એ સારી જગ્યાએ પૈસા નાખો, (પા.૩૬૭)એટલે આવતે ભવ તમને કામ લાગશે. અને અત્યારે લોભની ગાંઠ છૂટે. સારી જગ્યાએ નાખો એટલે આવતા ભવનો એ ઓવરડ્રાફ્ટ, નહીં ? હેં ? કે વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ? આપણે મોજમજામાં વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ગણાય ? ત્યારે એ રેસમાં નાખી આવે તે ઓવરડ્રાફ્ટ નહીં ? પ્રશ્નકર્તા : એ ઊંધો ઓવરડ્રાફ્ટ થઈ ગયો. દાદાશ્રી : એ બધું ગટરમાં ગયું. તમે જેટલું વાપરશો એ બધું ગટરમાં. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સારી જગ્યાએ નખાવડાવ ! એટલે લોભની ગાંઠ તૂટી જશે. પછી ચિત્ત એમાં ને એમાં રહે. પછી ‘આપણું’ ગાડું ચાલ્યા કરશે. હરકત આવે નહીં અને જેણે કોઈ પણ સારી જગ્યાએ પૈસા નાખ્યા એને દુઃખ આવે જ કેમ કરીને ? દુઃખ એને માટે રાહ ના જોતું હોય. રાહ જુએ કોના માટે ? જે પોતાના હારુ વાપરે છે, તેને માટે દુઃખ રાહ જુએ છે. પ્રશ્નકર્તા : મૂળ ભ્રાંતિ ગઈ ને પછી જ આ લોભ છૂટવા માંડ્યોને. દાદાશ્રી : હા, ભ્રાંતિ પહેલાંયે લોભ છૂટે. લોભિયો તો જાણે અને તે પહેલાં છોડે ને તો મોટાં મોટાં પુણ્ય બંધાય, જબરજસ્ત ! લોભ છોડે. કો’ક સમજણ પાડે તો છૂટે. તો પુણ્ય બંધાવું. દેરાસર બંધાવું ને પોતાને માટે ના વાપરે એ બધું ઓવરડ્રાફ્ટ ! સર્વસ્વ સમર્પણ, શાને ?એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ જે મોક્ષ આપે છે. મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષ ત્યાં આગળ એમની તન, મન, ધનથી સેવા કરવી. ત્યારે કહે, ‘સાહેબ, તન, મન તો અમે અર્પણ કરીએ છીએ. પણ ધનની એમને જરૂર જ નથી. ત્યારે કહે કે તારી લોભની ગાંઠ કોણ તોડી આપશે ? જ્ઞાની પુરુષ તને એમ કહેશે કે આ બાજુ ફલાણી જગ્યાએ ધર્માદામાં આપી દે ત્યારે એ રકમ એટલે એમના આધારે તું આપીશ. નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તોય નહીં આપું. એમના આધારે, એમના ઉપર (પા.૩૬૮)પ્રેમ છે એ પ્રેમના આધારે તું આપીશ તો તારી ગ્રંથિ તૂટી ગઈ અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. પછી લોભ છૂટી જાય. આપવું જોઈએ એક ફેરો. આ ગ્રંથિઓ જ છે. લોભ છે ત્યાં સુધી એનો નિવેડો નહીં આવે. એટલે આ લોભને તોડવા માટે કરે છે. નહીં કે તારી મૂડી ઓછી કરવા, એટલે કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાની પુરુષની તન, મન, ધનથી ભક્તિ કરજે. પ્રશ્નકર્તા : ત્યાં સુધી ભક્તિ ઊગતી નથી. દાદાશ્રી : હા, ભક્તિ ઊગતી નથી. પરિણામ પામતી નથી અને એમણે કહેલું તે પાછું અનુભવનું કહેલું. નહીં તો આપણે ક્યાં ભાંજગડ કરીએ, આ ગાંઠો ઓગાળવાની ? જ્ઞાની પુરુષને પોતાને કશું જોઈતું નથી, કારણ કે એમને કોઈ ચીજની ભીખ ના હોય. સર્વસ્વ પ્રકારની ભીખ જાય, ત્યારે ભગવાનનું પ્રતિનિધિત્વ મળે. કયા કયા પ્રકારની ભીખ ? કીર્તિની ભીખ, માનની ભીખ, લક્ષ્મીની ભીખ, સોનાની ભીખ, સ્ત્રીઓની ભીખ ! સ્ત્રીઓનો અમને વિચાર પણ ના હોય. કોઈ પણ પ્રકારનું, આ દેહનું માલિકીપણું જ નહીંને ? પછી ભગવાનનું પ્રતિનિધિત્વ મળે. ‘દાદા’ પાસે બન્ને પાંખોપ્રશ્નકર્તા : એટલે જ દાદાની જે આધ્યાત્મિકતા છે, એ વૈયક્તિક જેમ છે એમ વૈશ્વિક અને સામાજિક છે. દાદાશ્રી : એ બહુ ઊંચું સામાજિક છે. આ તો આદર્શ સામાજિક છે. બીજા આદર્શવાળા લોકો આમ કબૂલ કરે કે આવું ઊંચું સામાજિક ઉત્પન્ન થયું નથી. આ જો સમાજ સમજે ને તો બહુ જ ઊંચા સ્તરનો થાય. જે અધ્યાત્મ વ્યવહારના આદર્શ સિવાયનું છે એ અધ્યાત્મ લૂખું કહેવાય છે અને લૂખું એ પૂરું ફળ આપે નહીં, એટલે હંમેશા એક્ઝેક્ટનેસ જોઈએ. (પા.૩૬૯)પ્રશ્નકર્તા : લૂખું તે કેવી રીતે ફળ આપે ? દાદાશ્રી : હા, બસ, તે એ લૂખું છે. એનાથી સંતોષ પણ ના થાય. સંજ્ઞા સમજવી જ્ઞાનીનીઅને સમાજની વ્યવસ્થા જો આવી રીતે સમજાય તો કામ કાઢી નાખે. કોઈ પૈસાની ભાવના ના કરે તો કેટલું સુંદર હિન્દુસ્તાન થઈ જાય ! પૈસો તો તમને આવવાનો જ છે, પૈસો આવવો એ પરિણામ છે. તમારે કોઝિઝનું સેવન કરવાનું છે, તેને બદલે પૈસાનું સેવન કરો છો ? પૈસા એ શું છે ? પરિણામ. એટલે આ તો પરીક્ષામાં પાસ થવાની ચિંતા કરો છો ? પરીક્ષામાં પાસ થઉં એને માટે બાધા રાખો છો ? અરે, સારી પરીક્ષા આપવામાં બાધા રાખો કે સારું પેપર કેમ કરીને લખાય. તેને બદલે આ ઊંધું જ કરે છે. પરીક્ષામાં પાસ થવાની બાધા રાખે છે ! તમને સમજાય છે ? પ્રશ્નકર્તા : લક્ષ્મી જે પરિણામમાં આવવાની છે, એના માટે પણ આશા કેમ રખાય છે આપણાથી ? દાદાશ્રી : આ લોકસંજ્ઞાથી ચાલ્યા એટલે. પેલો કહે છે મારે લક્ષ્મી વધારે મળે એવું જોઈએ. બીજોય લક્ષ્મીને માટે દોડધામ ને ભાવના કર્યા કરતો હોય. કોઈ બાપજી હોય ત્યાં જાય. ‘બાપજી’ મને લક્ષ્મી વધારે મળે એવું કંઈક કરજો.’ કહેશે, ‘અલ્યા, પરિણામ માટે ? બાપજીનેય શરમ ના આવે ? એટલે આ મૂળ વાત સમજ્યા સિવાય બધું ચાલ્યું છે જગત ? અને એનું દુઃખ છે. નહીં તો જગતમાં દુઃખ હોતું હશે ? મને મૂળ વાત તરત ખબર પડી જાય એટલે મને દુઃખ નથી આવ્યું. જ્ઞાન ન હતું તોય. મને ફક્ત દુઃખ શેનું હતું ? કે અંબાલાલભાઈ નામના દુનિયામાં મોટામાં મોટા માણસ, એવું હું માની બેઠેલો. વાતમાં કશોય માલ નથી. એ માની બેઠેલાનું બહુ દુઃખ. આપણે આપણી મેળે માન માન કરીએ એનો શું અર્થ ? મનમાં ને મનમાં રાંડીએ અને મનમાં ને મનમાં પૈણીએ, એ કંઈ પૈણ્યા કહેવાય ? ના, ત્યારે કંઈ રાંડ્યા કહેવાય ? ના. એટલે આખું જગત આ પૈસાને લીધે ભાંજગડ કરે છેને ? (પા.૩૭૦)પ્રશ્નકર્તા : અને બીજા કરે છે એટલે આપણે કરીએ છીએ. દાદાશ્રી : એને ભાન નથી રહેતું કે આ કરવા જેવું કે આ નથી કરવા જેવું ! જીવન ઝગાવો મીણબત્તી સમઆપણું જીવન કોઈના લાભ માટે જાય, જેમ આ મીણબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છેને ? સામાના ફાયદા માટે કરે છેને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો તારો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારે ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ? પ્રશ્નકર્તા : પરોપકાર અર્થે જ જીવવું જોઈએ. દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રિએક્શનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આતો મારે હજુ સહન કરવું પડે છે, પણ થોડા વખત સહન કરવું પડશે. ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રિએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેના ફળ તો આવે જ ને ? પરાર્થ એટલે શું ? પારકા માટે, છોકરાં માટે, બીજા માટે જીવવાનું ત્યારે તેમાં તારું શું વળ્યું ? અહીં કરોડ રૂપિયા ભેગા કરે, અણહક્કનું લે, અણહક્કનું બધું ભોગવી લે ને પછી છોકરાં હારુ બધું મૂકીને ચાલ્યો જાય. એવું છે આ જગત ! પામો જ્ઞાનીનો અંતર હેતુદરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે એટલે શું કે આ દવાખાનું કાઢવું (પા.૩૭૧)છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્ય પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એ તો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખાએ લક્ષ્મીને જ પ્રોડક્શન કહી, એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી, એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એના બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્શન જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મી કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો. ‘નિરંતર સેવાભાવ.’ તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી. ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઑફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઑફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્યમાત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું, એટલે આપણે જે વિદ્યા જાણતા હોય તો વિદ્યા સેવાભાવમાં વાપરવી, એટલો જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળ રૂપે બીજી વસ્તુઓ ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે. અને પછી લક્ષ્મી તો કોઈ દહાડોય ખૂટે નહીં અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહ્યું જ નહીંને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્શનનું એટલે આપણે પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે. આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે, તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્શન છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, ‘જગત આખું, પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.’ મારું આ પ્રોડક્શન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે ! આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે. એનું શું કારણ ? તે તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે. (પા.૩૭૨)બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા કરે અને તે ઇઝિલી મળ્યા કરે. જુઓને ! આ પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઇઝિલી મળતા નથી, દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવા ફરે છે અને મોંઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવા દેખાય ! ઘરનું સુંદર ખાવાનું-પીવાનું છે, કેવી સગવડ છે. રસ્તા કેવા સરસ છે. રસ્તા પર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો. મનુષ્યમાં ભગવાન રહેલો છે. ભગવાન મહીં જ બેઠા છે. બહાર ખોળવા જાવ તો તે મળે એવા નથી. તમે મનુષ્યોના ડૉક્ટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું. જાનવરોના ડૉક્ટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાની કહું. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે ! બદલાવો, જીવનનો હેતુ આમપ્રશ્નકર્તા : કર્તવ્ય તો દરેક માણસનું. પછી વકીલ હોય કે ડૉક્ટર હોય, પણ કર્તવ્ય તો એવું જ હોયને કે મનુષ્ય માત્રનું સારું કરવું. દાદાશ્રી : હા, પણ આ તો ‘સારું કરવું છે’ એવી ગાંઠ વાળ્યા વગર જ બસ કર્યા કરે છે, કોઈ ડિસિઝન લીધું નથી, કોઈ પણ હેતુ નક્કી કર્યા વગર એમ ને એમ ગાડી ચાલ્યા કરે છે. કયે ગામ જવું છે એનું ઠેકાણું નથી અને કયે ગામ ઊતરવું છે તેનુંય ઠેકાણું નથી. રસ્તામાં ચા-નાસ્તો કરવાનો છે તેનુંય ઠેકાણું નથી. બસ દોડ દોડ દોડ કર્યા કરે છે. એટલે બધું ગૂંચાયું છે. હેતુ નક્કી કર્યા પછી બધું કર્યા કરીએ. લક્ષ્મી તો બાય પ્રોડક્શન છે, એનું પ્રોડક્શન ના થાય, એનું જો પ્રોડક્શન થતું હોય તો આપણે કારખાનું કાઢીએ તો પ્રોડક્શનમાં મહીંથી પૈસા મળે, પણ ના, લક્ષ્મી એ તો બાય પ્રોડક્શન છે. જગત આખાને લક્ષ્મીની જરૂર છે. માટે આપણે એવી તો શું મહેનત કરીએ કે પૈસા આપણી પાસે આવે ! એ સમજવાની જરૂર છે. લક્ષ્મી એ બાય પ્રોડક્શન છે. માટે એની મેળે પ્રોડક્શનમાંથી આવશે, સહજ સ્વભાવે આવે એવી છે. ત્યારે લોકોએ લક્ષ્મીનાં કારખાનાં કાઢ્યાં, પ્રોડક્શન જ એને બનાવી દીધું. (પા.૩૭૩)આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જિનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે, એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ. જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ત્યારે તમને અજાયબી લાગશે ! v v v (પા.૩૭૪)(૭) દાનનાં વહેણસારાં કાર્યો કોને કહેવાય ?પ્રશ્નકર્તા : સારાં કાર્યો કરવા માણસે શું કરવું ? દાદાશ્રી : શું કરવાં છે સારાં કાર્યો ? પ્રશ્નકર્તા : કોઈ પણ સારું કાર્ય આપણે કરવું હોય, ધાર્મિક ગમે તે ? દાદાશ્રી : દસેક લાખ રૂપિયા દાન કરવું છે ? પ્રશ્નકર્તા : ના, ના. દાનની વાત તો પછી છે. દાદાશ્રી : તો શું કરવું છે એ કહોને મને ? પ્રશ્નકર્તા : પણ એમાં બુદ્ધિનો શો ઉપયોગ લેવો ? દાદાશ્રી : બુદ્ધિનો ? તો આપણે એવું નક્કી કરવું કે આપણે પૈસા ના હોય તોય આપણે રોજ રાત્રે નક્કી કરવું કે મારે સવારમાં જે કોઈ હોય તે કોઈને ફેરો ખાઈ છૂટવો છે, ધક્કો ખાઈ છૂટવો છે. એને સાચી સલાહ આપવી છે. અને વેપારી કંઈ ગૂંચાયેલો હોય, નામામાં ગૂંચાયેલો હોય તો આપણે કહીએ કે ભઈ, હું તને નામાની સમજણ પાડી દઈશ. આવું તેવું આખો દહાડો કંઈનું કંઈ કરીએ. ઓબ્લાઇઝિંગ કરીએ તો ચાલે કે ના થાય ? પ્રશ્નકર્તા : ચાલે. લક્ષ્મીનો સદુપયોગ શેમાં ?પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો (પા.૩૭૫)રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ? દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના માણસોને દુઃખ ન થાય એવી રીતે વાપરવા. ઘરના માણસને પૂછવું કે ભઈ, તમને અડચણ નથી ને ? ત્યારે એ કહે, ‘ના, નથી.’ તો એ લિમિટ એની, પૈસા વાપરવાની. એટલે પછી આપણે એ પ્રમાણે કરવું. પ્રશ્નકર્તા : સન્માર્ગે તો વાપરવાનું ને ? દાદાશ્રી : પછી બીજા બધા સન્માર્ગે જ વાપરવાના. ઘરમાં વપરાશે એ બધા ગટરમાં જશે. અને બીજે જે વપરાશે એ તમારા પોતાને જ માટે સેફ સાઈડ થઈ ગઈ. હા, અહીંથી જોડે લઈ જવાતા નથી, પણ બીજે રસ્તે સેફ સાઈડ કરી શકાય છે. પ્રશ્નકર્તા : પણ આમ તો એ જોડે જ લઈ ગયા જેવું કહેવાય ને ! દાદાશ્રી : હા, જોડે લેવા જેવું જ આપણે સેફસાઈડવાળું. એટલે કોઈ રસ્તે બીજાને કંઈ પણ સુખ થાય એને માટે વાપરવું. એ બધું તમારી સેફ સાઈડ છે. પ્રશ્નકર્તા : લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ? દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરોને તે સદુપયોગ કહેવાય. દાનમાં સ્વાર્થપ્રશ્નકર્તા : આ દાન શા માટે કરવામાં આવે છે ? દાદાશ્રી : એવું છે ને એ દાન પોતે આપીને લેવા માગે છે. સુખ આપી અને સુખ લેવા માંગે છે. મોક્ષ માટે દાન નથી આપતો. એ સુખ આપો લોકોને તો તમને સુખ મળશે. જે તમે આપો તે મળશે. એટલે એ તો નિયમ છે. એ તો આપવાથી આપણને મળે છે. પ્રાપ્તિ થાય છે. લઈ લેવાથી ફરી જતું રહે છે. (પા.૩૭૬)પ્રશ્નકર્તા : ઉપવાસ કરવો સારો કે કંઈક દાન કરવું સારું ? દાદાશ્રી : દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવવું. ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. અને ઉપવાસ કરવાથી મહીં જાગૃતિ વધશે. પણ શક્તિ પ્રમાણે ઉપવાસ કરવાનું ભગવાને કહ્યું છે. પ્રશ્નકર્તા : દાદા, આ દાન તો બહાર આટલું બધું કરે છે, જૈનોમાં અપાસરામાં બહુ કરે છે. દાદાશ્રી : એ દાન કરે પણ આમ સગાંવહાલાંને કાયદાથી બહાર ના આપે. દાન કરે કારણ પોતાને એનું ફળ લેવાનું ને ! એનું ફળ મારે લેવાનું છે ને એ તો સ્વાર્થ છે, એક જાતનો. દાન એ તો સ્વાર્થ છે. પણ આ સગાંવહાલાંને ના આપે. કાયદાની બહાર ના આપે. એ તો મેં બધી આખી નાતમાં જોયેલું. મંદિરોમાં કે ગરીબોમાં ?પ્રશ્નકર્તા : આપણે મંદિરોમાં ગયા’તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું આ જીવતા જાગતા અંતર્યામી, અને દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને જીવતા જગતને લોકો તતડાવે છે. અને આ પથ્થરની પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા કરે છે. એ વસ્તુ શું ? દરેકની મહીં ભગવાન છે, પ્રત્યક્ષ છે. તો એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચે આવું કેમ ? દાદાશ્રી : હા, પણ લોકોને કકળાવે એ તો એની અણસમજણથી કકળાવે છેને, બિચારાને ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છેને ? પૈસા કમાવા નીકળે છે, હવે ઘેર છે તે સારી રીતે ઘર ચાલે એવું હોય છે. તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે ?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલા (પા.૩૭૭)અમુક લોકોને ભાગે જ ના આવે. હવે છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું તે પુણ્ય ! ત્યારે પુણ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડિડક્શન (બાદ) થઈ શકેને ? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડિડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને ? એટલે લોકો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવાં છે ? જે જ્યાં દર્શન કરવા જાયને તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતાં જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમે કહો તો નાચે હઉ. નાચે-કૂદે એકલો ! પણ જીવતા જોડે એને શરમ આવે છે. આ જીવતા ન્હોયને અને જીવતા પાસે ના કશું થાય. અને જો જીવતા પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય. આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોયને ? એવી પુણ્ય ના હોય ! ભગવાન પાસે મૂકેને, તે બધું નિષ્કામ નહીં સકામ. હે ભગવાન, છોકરાને ઘેર એક છોકરો ! મારો છોકરો પાસ થાય. ઘેર ઘૈડા ડોસા છેને, એમને પક્ષઘાત થયો છે તે મટી જાય. તેના બસ્સો ને એક મૂકે. હવે અહીં તો કોણ મૂકે ! આપણે કંઈ એવું કારખાનું છે ? અને અહીં લેય કોણ તે મૂકે ? દાન કોને અપાય ?પ્રશ્નકર્તા : અમે અહીં અમેરિકામાં કોઈ ગરીબ નહીં તેથી કોઈને દાન ના કરી શકીએ તેથી અમને પુણ્યનો ચાન્સ ઓછો મળેને ? દાદાશ્રી : તમે ગરીબને પૈસા આપો ને એની તપાસ કરો તો એની પાસે પોણો લાખ રૂપિયા પડ્યા હોય. કારણ એ લોકો ગરીબોના નામ પર પૈસા ભેગા કરે છે ? બધો વેપાર જ ચાલે છે. દાન તો ક્યાં આપવાનું છે ? જે લોકો માંગતા નથી ને અંદર મહીં કચવાયા કરે છે ને દબઈ દબઈને ચાલે છે એ કોમન માણસો છે ત્યાં આપવાનું છે. એ લોકોને બહુ સપડામણ છે, એ મધ્યમ વર્ગને ! (પા.૩૭૮)લક્ષ્મી દીધી ને તકતી લીધીપ્રશ્નકર્તા : એવું નહીં દાદા, કેટલાક લોકો સમજ્યા વગર આપે તો અર્થેય નહીં એનો. દાદાશ્રી : ના, સમજ્યા વગર ના આપે. એ તો બહુ પાકા, એ તો પોતાના હિતનું જ કરે. પ્રશ્નકર્તા : ધર્મનું સમજ્યા વગર, નામ માટે આપે, તકતી લગાડવા માટે આપે. દાદાશ્રી : એ નામ તો, હમણાં આ નામનું થઈ ગયું ! પહેલાં તો નામનું નહીં. આ તો હમણાં વેચવા માંડ્યા નામ, આ કળિયુગને લીધે. બાકી પહેલાં નામ-બામ હતું જ નહીં. એ આપ્યા જ કરે નિરંતર એટલે ભગવાન એમને શું કહેતા હતા ? શ્રેષ્ઠી કહેતા હતા અને અત્યારે એ શેઠ કહેવાય છે. નામીની તો નનામીપ્રશ્નકર્તા : આપવું તે પાછું અહંકારથી આપ્યું. તકતી લગાડીને આપ્યું. આપણે તકતી ના લગાડીએ તો પાછળવાળા કેવી રીતે જાણે કે આપણા બાપે આ કરેલું. તકતી વાંચે તો જ ખબર પડેને ! કે આ ધરમશાળા મેં બંધાવી. દાદાશ્રી : શું નામ છે આપનું ? પ્રશ્નકર્તા : ચંદુલાલ. દાદાશ્રી : એવું છે ને, તો આપણે ચંદુભાઈ તરીકે રહીશું. એ ચંદુભાઈ તો નામ રહ્યું. એમાં આપણે શું ? અહીંથી નનામી કાઢેને, એટલે ઊડી ગયું. એ જપ્તીમાં ગયેલું શું કામનું ? સમજ પડીને ? એટલે નામની કિંમત ના આંકવી. નામ તો અહીં નનામી કાઢે એટલે ત્યાં આગળ જપ્તીમાં જતું રહે છે. અહીં નનામીનો રિવાજ છે કે પાછળ ? આ તો નામ પરનું બધું જપ્તીમાં જતું રહેશે અને તમે છો અનામી. અનામીની નનામી ના હોય. નામી થયા માટે નનામી નીકળે. આ હું તમને એવું (પા.૩૭૯)અનામી કરી આપીશ પછી નનામી નીકળશે નહીં. નામની નીકળશે, પણ તમારી નહીં નીકળે પછી. શાને ન ટકે, લક્ષ્મી ?પ્રશ્નકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ? દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. ‘અમે’ ‘જ્ઞાની’ છીએ, તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમટેક્સ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું. પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ? દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને તે બહુ ભારે પુણ્ય કહેવાય. ૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય. પૈસા ખોટે રસ્તે ગયા તો કંટ્રોલ કરી નાખવો. ને પૈસા સારા રસ્તે વપરાય તો ડીકંટ્રોલ કરી નાખવાનો. મન બગડેલાં તેથી...પ્રશ્નકર્તા : હું અમુક સમય સુધી મારી આવકમાંથી ૩૦ ટકા ધર્માદામાં આપતો હતો પણ એ બધું અટકી ગયું. જે જે આપતો હતો તે હવે આપી શકતો નથી. (પા.૩૮૦)દાદાશ્રી : એ તો તમારે કરવું છે તો એ બે વર્ષ પછી પણ આવશે જ ! ત્યાં કંઈ ખોટ નથી. ત્યાં તો ઢગલાબંધ છે. તમારાં મન બગડેલાં હોય, તે શું થાય ? આમ અંતરાય પડેઆ ભાઈ કોઈ એક જણને દાન આપતા હોય, ત્યાં આગળ કોઈ બુદ્ધિશાળી કહેશે કે, ‘અરે આને ક્યાં આપો છો ?’ ત્યારે આ ભાઈ કહેશે, ‘હવે આપવા દોને, પણ ગરીબ છે.’ એમ કરીને એ દાન આપે છે, ને પેલો ગરીબ લઈ લે છે. પણ પેલો બુદ્ધિશાળી બોલ્યો તેનો તેણે અંતરાય પાડ્યો. તે પછી એને દુઃખમાંય કોઈ દાતા ના મળી આવે. અને જ્યાં પોતે અંતરાય પાડે છે તે જગ્યાએ જ આ અંતરાય કામ કરે છે. વિષયમાં અંતરાય પાડે તો તેને વિષયમાં અંતરાય આવીને ઊભો રહે. ખાવામાં અંતરાય પાડ્યો હોય તો અહીં આગળ બધે હોટલો છે, વીશીઓ છે, પણ એ જ્યારે જાય ત્યારે બધી વીશીઓ બંધ હોય અગર તો જમવાનું ખલાસ થઈ ગયું હોય. પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પડ્યા હોય, પણ મનથી અંતરાય પડ્યા હોય તો ? દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે. એ તો બીજે અવતારે અસર કરે અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. વાણી થઈ કે રોકડું થયું. કૅશ થયું, તે ફળેય કૅશ આવે અને મનથી ચીતર્યું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે. ને આમ અંતરાય ઊડેપ્રશ્નકર્તા : એટલે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે જરાય આડો અવળો વિચાર ના થાય. દાદાશ્રી : એવું બને એવું નથી. વિચાર તો એવા થયા વગર રહેવાના જ નથી. એને આપણે ભૂંસી નાખીએ એ આપણો ધંધો. એવા વિચાર ના થાય એવું આપણે નક્કી કરીએ એ નિશ્ચય કહેવાય. પણ વિચાર જ ના આવે એવું ત્યાં આગળ ચાલે નહીં. વિચાર તો આવે પણ (પા.૩૮૧)બંધ પડતાં પહેલાં ભૂંસી નાખવાનો. તમને વિચાર આવ્યો કે, ‘આને દાન ના આપવું જોઈએ’, પણ તમને જ્ઞાન આપ્યું છે એટલે જાગૃતિ આવે કે આપણે વચ્ચે ક્યાં અંતરાય પાડ્યો ? એમ, તે પાછો તમે એને ભૂંસી નાખો. પોસ્ટમાં કાગળ નાખતાં પહેલાં ભૂંસી નાખો તો વાંધો નહીં. પણ એ તો જ્ઞાન વગર કોઈ ભૂંસે નહીંને ! અજ્ઞાની તો ભૂંસે જ નહીંને ?! ઊલટું આપણે એને એમ કહીએ કે ‘આવો ઊંધો વિચાર શું કામ કર્યો ?’ ત્યારે એ કહેશે કે, ‘એ તો કરવો જ જોઈતો હતો એમાં તમને સમજણ ના પડે.’ તે પછી પાછો એવું ડબલ કરે ને જાડું કરી આપે. અહંકાર બધું ગાંડું જ કરે, નુકસાન કરે, એનું નામ અહંકાર, પોતે પોતાના જ પગ પર કુહાડી માર માર કરે એનું નામ અહંકાર. હવે તો આપણે પશ્ચાતાપથી બધું ભૂંસી શકાય અને મનમાં નક્કી કરીએ કે આવું ના બોલવું જોઈએ. અને બોલ્યો તેની ક્ષમા માગું છું, તો ભૂંસાઈ જાય. કારણ કે તે કાગળ પોસ્ટમાં પડ્યો નથી તે પહેલાં આપણે ફેરફાર કરી નાખીએ કે પહેલાં અમે મનમાં વિચાર કર્યો હતો કે, ‘દાન આપવું ના જોઈએ’ તે ખોટું છે. પણ હવે અમે વિચાર કરીએ છીએ કે આ દાન આપવામાં સારું છે એટલે એનું આગળનું ભૂંસાઈ જાય. એનું વહેણ બદલોખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો. ફક્ત એક સુષમકાળમાં લક્ષ્મી મોહ કરવા જેવી હતી. એ લક્ષ્મીજી તો આવ્યાં નહીં ! અત્યારે આ શેઠિયાઓને હાર્ટ ફેઈલ અને બ્લડ પ્રેશર કોણ કરાવે છે ? આ કાળની લક્ષ્મી જ કરાવે છે. પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે, એટલે આવે અને એક દહાડો પાછા જતા રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે, એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએને ? (પા.૩૮૨)ચારિત્રનો ડાહ્યો થયો કે આખું જગત જીતી ગયો. પછી છોને બધું જ ખાવું હોય તે ખાય, પીવે ને વધારે હોય તો ખવડાવી દે. બીજું કરવાનું છે શું ? કંઈ જોડે લઈ જવાય છે ? જે નાણું પારકા માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોયે પણ તમારી સિલક ! પણ તમે ને તમારાં છોકરાંએ ખાધું, એ બધી તમારી સિલક ન હોય, એ બધું ગટરમાં ગયું. ત્યારે ગટરમાં જવાનું બંધ કરાય નહીં, એ તો ફરજિયાત છે, એટલે કંઈ છૂટકો છે ? પણ જોડે જોડે સમજવું જોઈએ કે પારકાને માટે નહીં વપરાયું એ બધું ગટરમાં જ જાય છે. મનુષ્યોને ના જમાડો ને છેવટે કાગડાને જમાડો, ચકલીને જમાડો, બધાંને જમાડો તોય એ પારકાને માટે વાપર્યું ગણાય. મનુષ્યોની થાળીની કિંમત તો બહુ વધી ગઈ છેને ? ચકલીઓની થાળીની કિંમત ખાસ નહીંને ? ત્યારે જમા પણ એટલું ઓછું જ થાયને ? બદલાયેલા વહેણની દિશાઓકેટલાં પ્રકારના દાન છે એવું જાણો છો તમે ? ચાર પ્રકારનાં દાન છે. એક-આહારદાન, બીજું-ઔષધદાન, ત્રીજું- જ્ઞાનદાન અને ચોથું-અભયદાન. પહેલું આહારદાનપહેલા પ્રકારનું દાન છે તે અન્નદાન. આ દાનને માટે તો એવું કહ્યું છે કે ભઈ, અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, ‘કંઈક મને આપો, હું ભૂખ્યો છું.’ ત્યારે કહીએ, ‘બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.’ એ આહારદાન. ત્યારે અક્કલવાળા શું કહે, આ તગડાને ખવડાવશો તો સાંજે તમે શી રીતે ખવડાવવાના હતા ? ત્યારે ભગવાન કહે છે, તું આવું ડહાપણ ના કરીશ. આ ભાઈએ ખવડાવ્યું તો આજનો દહાડો તો એ જીવશે. કાલે પછી એને જીવવા માટે કોઈ મળી આવશે. સમજ (પા.૩૮૩)પડીને ! પછી કાલનો વિચાર આપણે નહીં કરવાનો. તમારે બીજી ભાંજગડ નહીં કરવાની કે કાલે એ શું કરશે ? એ તો કાલે એને મળી આવે પાછું. તમારે એમાં ચિંતા નહીં કરવાની કે કાયમ અપાય કે ના અપાય ? તમારે ત્યાં આવ્યો એટલે તમે એને આપો, જે કંઈ અપાય તે. આજ તો જીવતો રહ્યો બસ ! પછી કાલે વળી એને બીજું કંઈ ઉદય હશે. તમારે ફિકર કરવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે ? દાદાશ્રી : અન્નદાન સારું ગણાય છે. પણ અન્નદાન કેટલું આપે ? કંઈ કાયમને માટે આપે નહીં ને લોકો ? એક ટંકેય ખવડાવે તો બહુ થઈ ગયું. બીજે ટંકે પાછું મળી રહેશે. પણ આજનો દિવસ, એક ટંકેય જીવતો રહ્યોને ! ઔષધદાનઅને બીજું ઔષધદાન. એ આહારદાન કરતાં ઉત્તમ ગણાય, ઔષધદાનથી શું થાય ? સાધારણ સ્થિતિનો માણસ હોય તે માંદો પડ્યો હોય ને દવાખાનામાં જાય એટલે ત્યાં આગળ કોઈ કહેશે કે, ‘અરે ડૉક્ટરે કહ્યું છે પણ દવા લાવવાના પચાસ રૂપિયા મારી પાસે નથી. એટલે દવા શી રીતે લાવું ? ત્યારે આપણે કહીએ કે ‘આ પચાસ રૂપિયા દવાના અને દસ રૂપિયા બીજા. અગર તો ઔષધ આપણે મફત આપીએ ક્યાંથી લાવીને. આપણે પૈસા ખર્ચીને લાવીને એને ફ્રી ઑફ કોસ્ટ (મફત) આપવું. તો એ ઔષધ કરે તો એ બિચારો કંઈ છ વર્ષ, દશ વર્ષ જીવે. અન્નદાન કરતાં ઔષધદાનથી વધારે ફાયદો છે. સમજાયું તમને ? કયો ફાયદો વધારે ? અન્નદાન સારું કે ઔષધદાન ? પ્રશ્નકર્તા : ઔષધદાન. દાદાશ્રી : ઔષધદાનને આહારદાન કરતાં વધારે કિંમતી ગણ્યું છે. કારણ કે એ બે મહિનાયે જીવતો રાખે. માણસને વધુ ટાઈમ જરા જિવાડે. વેદનામાંથી થોડી ઘણી મુક્તિ કરે. પછી એનાથી આગળ જ્ઞાનદાન કહ્યું. (પા.૩૮૪)ઊંચું જ્ઞાનદાનજ્ઞાનદાનમાં પુસ્તકો છપાવવાં, સાચા રસ્તે વાળે અને લોકોનું કલ્યાણ થાય એવાં પુસ્તકો છપાવવાં એવું તેવું એ જ્ઞાનદાન. જ્ઞાનદાન આપે તો સારી ગતિઓમાં, ઊંચી ગતિઓમાં જાય, અગર તો મોક્ષે પણ જાય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાનદાન ભગવાને કહેલું છે અને જ્યાં પૈસાની જરૂર નથી ત્યાં અભયદાનની વાત કહી છે. જ્યાં પૈસાની લે-દે છે, ત્યાં આગળ આ જ્ઞાનદાન કહ્યું છે અને સાધારણ સ્થિતિ, નરમ સ્થિતિના માણસોને ઔષધદાન ને આહારદાન બે કહ્યું છે. પ્રશ્નકર્તા : પણ તે પૈસા વધ્યા હોય તો તેનું દાન તો કરેને ? દાદાશ્રી : દાન એ ઉત્તમ. જ્યાં દુઃખ હોય ત્યાં દુઃખ ઓછાં કરો અને બીજું સન્માર્ગે વાપરવા. લોકો સન્માર્ગે જાય એવું જ્ઞાનદાન કરો. આ દુનિયામાં ઊંચું જ્ઞાનદાન ! તમે એક વાક્ય જાણો તો તમને કેટલો બધો લાભ થાય ! હવે એ પુસ્તક લોકોના હાથમાં જાય તો કેટલો બધો લાભ થાય ! પ્રશ્નકર્તા : હવે બરાબર સમજાયું. દાદાશ્રી : હા, એટલે આ જેની પાસે પૈસા વધારે હોય તેણે જ્ઞાનદાન મુખ્ય કરવું જોઈએ. ઊંચામાં ઊંચું અભયદાનઅને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન. પ્રશ્નકર્તા : અભયદાન જરા વધુ સમજાવો. દાદાશ્રી : અભયદાન એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં ૨૨-૨૫ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બાર-સાડાબાર વાગેલા હોય. એ આવું એટલે પેલા બૂટ ખખડે એ અમે પેલી (પા.૩૮૫)ચકતીઓ નખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે આમ કરીને સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં. પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને ! પ્રશ્નકર્તા : હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને ? દાદાશ્રી : હા, પાછું તે ચમક્યું ને તે એનો સ્વભાવ નાયે છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એનાં કરતાં ઊંઘવા દઈએ તો શું ખોટું ? તેમાં પોળવાળાને ના ભસે. માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવા ભાવ પહેલાં રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે, પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં, માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું. એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજાં બધાં તો દાનની વાત કરે છે, એ બધી કલ્પનાઓ છે, આ ચાર પ્રકારનું જ દાન છે. આહારદાન, ઔષધદાન, પછી જ્ઞાનદાન અને અભયદાન. બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી. પ્રશ્નકર્તા : પણ અભયદાનમાંથી આ ત્રણેય દાન નીકળી આવે છે, આ ભાવમાંથી ? દાદાશ્રી : ના, એવું છે કે અભયદાન તો ઊંચો માણસ કરી શકે. જેની પાસે લક્ષ્મી નહીં હશે, એ સાધારણ માણસ પણ આ કરી શકે. ઊંચા પુરુષો પાસે લક્ષ્મી હોય યા ના પણ હોય, માટે લક્ષ્મી સાથે એમનો (પા.૩૮૬)વ્યવહાર નથી, પણ અભયદાન તો અવશ્ય કરી શકે. ત્યારે લક્ષ્મીપતિઓ અભયદાન કરતા, પણ અત્યારે એમને એ ના થઈ શકે, એ કાચા હોય. લક્ષ્મી જ રળી લાવ્યા છેને, તેય લોકોને ભય પમાડી પમાડીને ! પ્રશ્નકર્તા : ભયદાન કર્યું છે ? દાદાશ્રી : ના, એવું કહેવાય નહીં, એવું કરીનેય જ્ઞાનદાનમાં ખર્ચે છેને ! અહીંથી, આમ ગમે તેવું કરીને આવ્યો, પણ અહીં જ્ઞાનદાનમાં ખર્ચે છે, એ ઉત્તમ છે, એવું ભગવાને કહ્યું. હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી, એ તો સ્લીપ થયા કરે, એ વાંચે તો આનંદ તો થાય એમાં, પણ નીચે અધોગતિમાં જયા કરે. જ્ઞાનીની દ્રષ્ટિએ...પ્રશ્નકર્તા : વિદ્યાદાન, ધનદાન, એ બધાં દાનમાં આપની દ્રષ્ટિએ કયું દાન શ્રેષ્ઠ ગણાય ? ઘણીવાર આમાં દ્વિધા ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. લક્ષ્મી હોય તેણે વિદ્યાદાન, જ્ઞાનદાનમાં લક્ષ્મી આપવી જોઈએ. જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવવાં કે બીજું-ત્રીજું કરવું. જ્ઞાનનો ફેલાવો કેવી રીતે થાય ? એના માટે જ પૈસા વાપરવા જોઈએ. લક્ષ્મી હોય તેણે અને લક્ષ્મી ના હોય તેણે અભયદાનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને ભય ના થાય એવી રીતે આપણે ચેતીને ચાલવું જોઈએ. કોઈને દુઃખ ના થાય, ભય ના થાય, એ અભયદાન કહેવાય છે. બાકી અન્નદાન ને ઔષધદાન એ તો સહેજે આપણે ત્યાં બૈરાં-છોકરાં બધાં કર્યા કરે. એ કંઈ બહુ કિંમતી દાન નથી, પણ કરવું જોઈએ. આવું કોઈ આપણને ભેગો થાય તો આપણે ત્યાં દુઃખિયો માણસ આવ્યો તેને જે તૈયાર હોય તે તરત આપી દેવું. દાનની બાબતમાં લોકો નામ કાઢવા માટે દાનો આપે છે, એ વાજબી નથી. નામો કાઢીને તો આ ખાંભીઓ બધી ઘાલે છે ને ખાંભીઓ (પા.૩૮૭)કોઈની રહી નથી અને અહીં આપેલું તે સાથે આવે ક્યારે ? વિદ્યા ફેલાય, જ્ઞાન ફેલાય એવું કંઈક કરીએ તો એ આપણને જોડે આવે. અગર અભયદાન, કોઈને દુઃખ ન દેવાની દ્રષ્ટિ. આજથી જ નક્કી કરી નાખો કે મારે આ જગતમાં કોઈને સહેજ પણ દુઃખ દેવું નથી. મન-વચન-કાયાથી કિંચિત્માત્ર ત્રાસ આપવો નથી. એવું નક્કી કરોને તો મહીં, અંદર એવું ચાલે. તમે નક્કી કરો એવું ચાલે છે અંદર. તમારો નિશ્ચય હોય એવું ચાલે. જ્ઞાનીઓ જ આપે ‘આ’ દાનએટલે શ્રેષ્ઠ દાન અભયદાન, બીજા નંબરે જ્ઞાનદાન, અભયદાનને ભગવાને વખાણ્યું છે. પહેલું કોઈ તારાથી ભય ના પામે એવું અભયદાન આપ. બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન. જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ? એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે. જ્ઞાનીના ફોલોઅર્સ હોયને તે અભયદાન આપે. કોઈને ભય થાય નહીં એવી રીતે રહે. સામો ભયરહિત રહે એવી રીતે વર્તે. કૂતરું પણ ભડકે નહીં એવી રીતે એમનું વર્તન હોય, કારણ કે એને દુઃખ કર્યું કે પોતાની મહીં પહોંચ્યું. સામાને દુઃખ કર્યું કે મહીં પહોંચ્યું એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર પણ ભય ના થાય એમ રહેવું. પછી જવાબદારી ‘અમારી’દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ, મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રિએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠાં આવે ! સવારના પહોરમાં નક્કી કરવું, ‘આ મન-વચન-કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો’ આવો ભાવ નક્કી કરીને નીકળવું. પછી બીજી બધી જવાબદારી હું લઈ લઉં છું. (પા.૩૮૮)હવે આપણને જે ઊંધા વિચારો આવે તે ભૂંસી નાખવું અને જગતનું કલ્યાણ થાય એ જ ભાવના રાખવી અને ‘કોઈને દુઃખ ના હો’ એવું સવારનાાપહોરમાં પાંચ વખત નિયમથી બોલવું ને પછી નીકળવું. પછી જે કોઈને આપણાથી જાણીને દુઃખ થાય કે અજાણતામાં દુઃખ થાય, તેની આપણી જોખમદારી નહીં, જાણીને થયાં હોય તેનું તરત પ્રતિક્રમણ કરી લેવું અને અજાણેય થયાં તે તો અજાણ્યામાં જતાં રહેશે, આપણને ખબર પણ ના પડે એ રીતે. જેમ બે વરસના છોકરાની મા મરી જાય તો તે છોકરું કેટલું રડે ? તેવું દુઃખ અજાણ્યે ભોગવાઈ જાય. ‘લક્ષ્મી’ ત્રણેયમાં આવેપ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ? દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન. પ્રશ્નકર્તા : લક્ષ્મી થકી જ બધું થાય છેને ? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છેને ? દાદાશ્રી : ઔષધ આપવું હોયને તોયે આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારેને ? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું. એ કઈ રીતે અપાય ?પ્રશ્નકર્તા : એટલે દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવી નથી. દાદાશ્રી : હા, સીધી રીતે આપવીયે ના જોઈએ. આપો એવી રીતે કે જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવીને આપો કે આહાર જમાડવા તૈયાર કરીને આપો. સીધી લક્ષ્મી આપવાની કોઈ જગ્યાએ કહી નથી. અને બીજું બધું નામ કાઢવા માટે આપે છે, બીજે સીધી લક્ષ્મી આપે છે, એ તો નામ કાઢવા માટે આપે છે. કીર્તિ માટે એને કીર્તિદાન કહેવાય છે. આ તો કેવાં દાન !ગાય મરવાની થાયને ત્યારે દાનમાં આપી આવે અને શું કહે, (પા.૩૮૯)‘ગાયનું મેં દાન કર્યું ! અલ્યા, કઈ જાતનું દાન કહેશો આને ? નિર્દયદાન કહેવાય ! કંઈક હકીકતમાં હોવું જોઈએ કે નહીં ? અરે મરવાની ગાયને આપવા જાવ છો ? કઈ ગાય આપવી જોઈએ ? ન્યાય શું કહે છે ? આ તો બધું મિથ્યાદાન કહેવાય છે. સમ્યક્દાન કહું કોને કહેવાય ? કે આહારદાન, જેને આહારનું, એક ફેરો હેલ્પ કરેને, એ સમ્યક્દાન કહેવાય. હવે એમાંયે આ લોકો વધ્યું-ઘટ્યું આપે છે કે નવું બનાવીને આપે છે ? પ્રશ્નકર્તા : વધેલું હોય તે જ આપે. પોતાનો જાન છોડાવે. વધી પડે એટલે હવે શું કરે ? દાદાશ્રી : એટલે એનો સદ્ઉપયોગ કરે છે મારા ભઈ ! પણ નવું બનાવીને આપે ત્યારે હું કહું કે કરેક્ટ છે. કંઈ વીતરાગોને ત્યાં કાયદા હશેને ? કે ગપ્પેગપ્પ ચાલશે ? પ્રશ્નકર્તા : ના, ના, ગપ્પાં હોય ?! દાદાશ્રી : વીતરાગનો ત્યાં ના ચાલે, બીજે બધે ચાલે. કામ લાગે તે પુસ્તક કામનુંપ્રશ્નકર્તા : આ ધર્મનાં લાખો પુસ્તકો છપાય છે, પણ કોઈ વાંચતું નથી. દાદાશ્રી : એ બરાબર છે. એ તમારી વાત ખરી. કોઈ વાંચતું નથી. એમ ને એમ ખાલી પુસ્તકો પડી રહે છે બધાં. જો વંચાતું હોય એવું પુસ્તક હોય તો કામનું. તમને સમજ પડી ? તમારું કહેવું બરાબર છે. અત્યારે કોઈ પુસ્તક વંચાતું નથી. નર્યાં ધર્મનાં જ પુસ્તકો છપાય છપાય કરે છે. પેલા મહારાજ શું કહે છે ? મારા નામનું છપાવો. તે મહારાજ એનું નામ ઘાલે છે. એમના દાદાગુરુનું નામ ઘાલે છે. એટલે અમારા દાદા આ હતા, અમારા દાદાના દાદા ને તેના દાદા... ત્યાં સુધી પહોંચે છે. લોકોને (પા.૩૯૦)કીર્તિઓ કાઢવી છે. અને તેને માટે ધર્મનાં પુસ્તકો છપાવે છે. ધર્મનું પુસ્તક એવું હોય કે જ્ઞાન આપણને કામ લાગે - એવું પુસ્તક હોય તો માણસને કામ લાગે. એવું પુસ્તક છપાયેલું કામનું, નહીં તો આમ ને આમ રઝળપાટ કરવાનો શો અર્થ ? અને તે બધાં કોઈ વાંચતું જ નથી. એક ફેરો વાંચીને મૂકી દે. ફરી કોઈ વાંચતું નથી અને એક ફેરોય કોઈ પૂરું વાંચતું નથી. લોકોને કામ લાગે એવું છપાવ્યું હોય તો પૈસા દીપે આપણા અને તે પુણ્ય હોય તો જ પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ! એ મેળ ખાય નહીંને ! પૈસા તો આવવાના ને જવાના અને ક્રેડિટ હંમેશાં ડેબિટ થયા વગર રહે નહીં. તમારે ત્યાં કેવો કાયદો છે ? ક્રેડિટ થયા કરે કે ડેબિટ થાય ખરી ? પ્રશ્નકર્તા : બંને સાઈડ છે. દાદાશ્રી : એટલે હંમેશાં ક્રેડિટ-ડેબિટ જ થયા કરે છે. પ્રશ્નકર્તા : એ જ થવું જોઈએ. દાદાશ્રી : પણ તે બે રસ્તા છે. ડેબિટ કાં તો સારે રસ્તે જાય કે કાં તો ગટરમાં જાય. પણ તેમાંથી એક રસ્તેથી જાય. આખા મુંબઈનું નાણું ગટરમાં જ જાય છે. નાણું જ બધું ગટરમાં જાય છે. મુંબઈ એટલે પુણ્યશાળીઓનો મેળોપ્રશ્નકર્તા : મોટામાં મોટાં દાનો મુંબઈમાં જ થાય છે. લાખો ને કરોડો રૂપિયા અપાય છે. દાદાશ્રી : હા, પણ એ દાન તો કીર્તિદાન છે બધાં અને કેટલીક સારી વસ્તુઓ છે. ઔષધદાન થાય એવી ઘણી સારી વસ્તુઓ છે. એટલે બીજું પણ ઘણું છે મુંબઈમાં. પ્રશ્નકર્તા : એ બધાંને લાભ મળે ખરો કે નહીં ? દાદાશ્રી : બહુ લાભ મળે. બહુ લાભ મળે. એ તો છોડે નહીં ને એ લાભ ! પણ આ મુંબઈમાં નાણું કેટલું બધું છે ?! એના હિસાબે તો, અહીં કેટલી બધી હોસ્પિટલો છે ? આ મુંબઈનું નાણું ઢગલેબંધ, દરિયા (પા.૩૯૧)જેટલું નાણું છે અને એ દરિયામાં જ જાય. પ્રશ્નકર્તા : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય છે એનું શું કારણ ? દાદાશ્રી : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય. પ્રશ્નકર્તા : એનું શું કારણ ? દાદાશ્રી : નિયમ જ એવો છે કે મુંબઈમાં ઊંચામાં ઊંચી વસ્તુ ખેંચાઈને આવી પડે. પ્રશ્નકર્તા : એ ભૂમિના ગુણ છે ? દાદાશ્રી : ભૂમિના જ સ્તો ! મુંબઈમાં બધી ઊંચામાં ઊંચી વસ્તુઓ ખેંચાય. મરચાંય ઊંચામાં ઊંચા, મહાન પુરુષો તેય પણ મુંબઈમાં જ હોય. અને નીચામાં નીચા, નાલાયક માણસો, તેય પણ મુંબઈમાં હોય. મુંબઈમાં બન્નેય ક્વૉલિટી હોય. એટલે ગામડામાં ખોળવા જાવ તો ના જડે. પ્રશ્નકર્તા : મુંબઈમાં સમદ્રષ્ટિ જેવા માણસ છેને ? દાદાશ્રી : બધું પુણ્યશાળીઓનો મેળો છે આ. પુણ્યશાળી લોકોનો મેળો છે એક જાતનો. અને બધા પુણ્યશાળીઓ ભેગા ખેંચાઈ આવે. નાણું હેંડ્યું, ગટરમાંમુંબઈના લોકો બધું નભાવી લે. એ એવું બીજું ના કરે. સમજ પડીને ? અને પોતાના પગ ઉપર કંઈક કો’કનો બૂટ પડેને, તો પ્લીઝ પ્લીઝ કરે. ધોલ ના મારે, પ્લીઝ પ્લીઝ કરે અને ગામડામાં મારે. એટલે આ મુંબઈના ડેવલપ કહેવાય. લોકોનું નાણું ગટરમાં જ જઈ રહ્યું છેને, સારા રસ્તે તો કો’ક પુણ્યશાળીને જ જાયને ! નાણું ગટરમાં જાય ખરું ? પ્રશ્નકર્તા : બધું જઈ જ રહ્યું છેને ! દાદાશ્રી : આ મુંબઈની ગટરોમાં તો બહુ નાણું, જથ્થે બંધ નાણું જતું રહ્યું છે. નર્યા મોહનું, મોહવાળું બજારને ! હડહડાટ નાણું ચાલ્યું જાય. નાણું ખોટું જ ને. નાણુંયે સાચું નહીં. સાચું નાણું હોય તો સારે રસ્તે વપરાય. (પા.૩૯૨)સોનૈયા દાનપ્રશ્નકર્તા : આપણા ધર્મમાં વર્ણવેલું છે કે પહેલાં તો સોનૈયાદાન આપતાં, તે એ લક્ષ્મી જ કહેવાયને ? દાદાશ્રી : હા, એ સોનૈયાદાન, એ સોનૈયાદાન હતુંને, એ તો અમુક પ્રકારના લોકોને જ અપાતું. એ બધા લોકોને નહોતા અપાતાં. સોનૈયાદાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાંને જેને કંઈક છોકરીઓ પૈણાવાની અટકી હોય. બીજું, સંસાર ચલાવવા માટે એ બધાને આપતા હતા. બાકી બીજા બધાને સોનૈયાદાન અપાતું ન હતું. વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, તેમને જ અપાવું જોઈએ. શ્રમણ એટલે કોઈની પાસે માંગી ના શકે. તે દહાડે બહુ સારે રસ્તે નાણું જતું હતું. આ તો અત્યારે ઠીક છે. દેરાસરો ભગવાનનાં બંધાય છેને તેય ‘ઑન’ના પૈસાથી બંધાય. આ યુગની અસર ખરીને ! શ્રેષ્ઠી - શેટ્ટી - શેઠ - શઠઅત્યારે તો ધન દાન આપે છે કે લઈ લે છે ! ને દાન થાય છે તો ‘મીસા’નાં (દાણચોરીનાં). દાનેશ્વરી તો મન-વચન-કાયાના એકાકારી હોય. આ તો મનમાં જુદું હોય, વાણીમાં જુદું બોલે, એવું કોઈ જગ્યાએ અનુભવમાં આવે છે કે નથી આવતું ? મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું ! અને કેટલાક લોકો તો મોટા માણસોએ તો સહી કરી આપી હોય તે ફરી જાય છે. કહેશે, ‘મારી સહી જ નથી કરેલી.’ બોલો ત્યારે, વાણીની વાત ક્યાં રહી ? તેવું અનુભવમાં નથી આવ્યું ? પહેલાંના કાળમાં, તે વખતે દાનેશ્વરી હોય. તે દાનેશ્વરી તો મન-વચન-કાયાની એકતા હોય ત્યારે દાનેશ્વરી પાકે અને તેને ભગવાને શ્રેષ્ઠી કહ્યા હતા. એ શ્રેષ્ઠીને અત્યારે મદ્રાસમાં શેટ્ટી કહે છે. અપભ્રંશ થતું થતું શ્રેષ્ઠીમાંથી શેટ્ટી થઈ ગયેલું છે ત્યાં આગળ, એ આપણે અહીં અપભં્રશ થતું થતું શેઠ થઈ ગયું છે. તે એક મિલના શેઠને ત્યાં સેક્રેટરી જોડે હું વાત કરતો હતો. મેં (પા.૩૯૩)કહ્યું કે, ‘શેઠ ક્યારે આવવાના છે ? બહારગામ ગયા છે તે ?’ એ કહે છે, ‘ચાર-પાંચ દિવસ લાગશે.’ પછી મને કહે છે, ‘જરા મારી વાત સાંભળો.’ મેં કહ્યું, ‘હા ભઈ’. તો એ કહે છે, ‘ઉપરથી માતર કાઢી નાખવા જેવા છે.’ મેં કહ્યું, ‘એમ ના બોલાય અલ્યા, તું પગાર ખાઉં છું. એનો પગાર લઉં છું ત્યાં સુધી ના બોલાય.’ મેં એને સમજણ પાડી કે અત્યારે તું પગાર ખાઉં છું ત્યાં સુધી બોલીશ નહીં, અહીંથી છૂટો પડ્યા પછી બોલવું હોય તો બોલજે. ગમે તેવો છે શેઠ, પણ જ્યાં સુધી લૂણ એનું ખાઈએ છીએ ત્યાં સુધી આપણે શેઠ બોલવું જોઈએ. તે મને કહેવા લાગ્યો કે ‘સાહેબ ઉપરથી માતર કાઢી નાખજો.’ મેં કહ્યું, ‘હું સમજી ગયો છું, હું શું નથી ઓળખતો આ લોકોને ? હું બધાને ઓળખું છું. પણ એને બોલવાની મર્યાદા હોવી જોઈએ.’ બાકી માતર કાઢી નાખીએ એટલે શું રહ્યું ? બહાર સિલકમાં ? પ્રશ્નકર્તા : શઠ રહ્યા. દાદાશ્રી : ના બોલશો, બોલાય નહીં ! આવી દશા થઈ છે. કેવા જગડુશા ને બધા શેઠિયા થતા હતા ! એ શેઠિયા કહેવાતા હતા. મિથ્યાત્વીના પક્ષે, મિથ્યાત્વીપ્રશ્નકર્તા : મહાભારતમાં કર્ણ દાનેશ્વરી કહેવાયો. તે દાનેશ્વરી છે કે તેમાંય લોચો છે ? દાદાશ્રી : એ દાનેશ્વરી છે. આ શેઠિયાઓ જેવો. શ્રેષ્ઠી હતાને, તેના જેવો જ. ફક્ત એ કૃષ્ણ ભગવાનનો સમોવડિયો હતો એટલી ભાંજગડ હતી. એટલે દુર્યોધનના પક્ષમાં પડ્યો હતો, એટલે વિરોધી કહેવાય. પણ દાનેશ્વરીમાં વાંધો ના આવે. પણ મોક્ષે જવામાં વાંધો ખરો. દુર્યોધનનો પક્ષ મિથ્યાત્વીનો પક્ષ હતો. કમ્પ્લિટ મિથ્યાત્વીનો અને પેલો સમકિતનો પક્ષ હતો. કૃષ્ણ ભગવાન સમકિતના પક્ષમાં પડ્યા. પાંડવોના પક્ષમાં. પ્રશ્નકર્તા : દ્રોણાચાર્ય, ભીષ્મપિતા એ બધા દુર્યોધનના પક્ષમાં (પા.૩૯૪)જેટલા હતા, એ બધા મિથ્યાત્વીમાં ગયા ? દાદાશ્રી : મિથ્યાત્વીના પક્ષમાં સારો માણસ, સંતપુરુષ પડેને, તોયે મિથ્યાત્વી થઈ જાય. એના ઘરનું અનાજ ખાય, તે એક જ દહાડો અનાજ મિથ્યાત્વીનું ખાય તો તે મિથ્યાત્વી થઈ ગયો. મિથ્યાત્વીનો જો શબ્દ પેસી ગયો તો ક્યારે ગૂંચવાડો ઊભો કરશે તે કહેવાય નહીં. સારા રસ્તે વાપરોપૈસા તો ખાલીયે થાય ને ઘડીમાં ભરાઈ પણ જાય. સારા કામ માટે રાહ ના જોવી. સારા કામમાં વપરાય, નહીં તો ગટરમાં તો ગયું લોકોનું નાણું. મુંબઈમાં કરોડો રૂપિયા ગટરમાં ગયા લોકોના, ઘેર વાપર્યું ને પારકા માટે ના વાપર્યું એ બધુંય ગટરમાં ગયું. તે હવે પસ્તાય છે. હું કહું છું કે ગટરમાં ગયું ત્યારે કહે છે, ‘હા, એવું જ થયું.’ ત્યારે મૂઆ પહેલેથી ચેતવું હતુંને ?! હવે ફરી આવે ત્યારે પાછો ચેતજે. ત્યારે કહે, ‘હા, ફરી તો હવે કાચો નહીં પડું. ફરીતો આવવાનું જ ને ! નાણું તો ચઢ-ઊતર થયા કરવાનું. કોઈ ફેરો બે વર્ષ રાશી જાય પાછાં, પાછાં પાંચ વર્ષ સરસ આવે, એવું ચાલ્યા કરે. પણ સારા રસ્તે વાપર્યું એ તો કામ લાગેને ? એટલું જ આપણું, બીજું બધું પારકું. ‘આટલું બધું કમાયા પણ ક્યાં ગયું ? ગટરમાં !! ધર્માદા કર્યું ? ત્યારે કહેશે, એ પૈસા તો મળતા જ નથી. ભેગા થતા જ નથી ને તો આપું શી રીતે ? ત્યારે નાણું ક્યાં ગયું ? આ તો કોણ ખેડે ને કોણ ખાય ? જે કમાય તેનું નાણું નહીં. જે વાપરે તેનું નાણું. માટે નવા ઓવરડ્રાફ્ટ મોકલ્યા એટલા તમારા. ના મોકલ્યા એ તમે જાણો ! સાચો દાતારલક્ષ્મી તો, કોઈ દહાડોય ખૂટે નહીં એનું નામ લક્ષ્મી ! પાવડેથી ખોપી ખોપીને ધર્માદા કર કર કરેને, તોય ના ખૂટે એનું નામ લક્ષ્મી કહેવાય. આ તો ધર્માદા કરે તે બાર મહિને બે દહાડા આપ્યા હોય, એને લક્ષ્મી કહેવાય જ નહીં. એક દાતાર શેઠ હતા. હવે દાતાર નામ કેમ પડ્યું કે એમને ત્યાં સાત પેઢીથી ધન આપ્યા જ કરતા હતા. પાવડેથી ખોપીને (પા.૩૯૫)જ આપે. તે જે આવ્યો તેને, આજ ફલાણો આવ્યો કે મારે છોડી પૈણાવવી છે, તો તેને આપ્યા, કો’ક બ્રાહ્મણ આવ્યો તેને આપ્યા. કો’કને બે હજારની જરૂર છે તો તેને આપ્યા. સંતસાધુઓને માટે, જગ્યા બાંધેલી ત્યાં બધા સંતસાધુઓને, જમવાનું એટલે દાન તો જબરજસ્ત ચાલતું હતું, તેથી દાતાર કહેવાયા ! અમે આ જોયેલું બધું. દરેકને આપ આપ કરે તેમ નાણું વધ વધ કરે. નાણાંનો સ્વભાવ કેવો છે ? જો કદી સારી જગ્યાએ દાનમાં જાય તો પાર વગરનું વધે. એવો નાણાંનો સ્વભાવ છે. અને જો ગજવાં કાપે તો તમારે ઘેર કશું નહીં રહે. આ બધા વેપારીને આપણે ભેગા કરીએ અને પૂછીએ કે ભઈ, કેમનું છે તારે ? બેન્કમાં બે હજાર તો હશેને ? ત્યારે કહેશે કે સાહેબ, બાર મહિને લાખ રૂપિયા આવ્યા, પણ હાથમાં કશું નથી ? તેથી તો કહેવત પડેલીને કે ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે ! કોઠીમાં કશું હોય નહીં, તે રડે જ ને ! લક્ષ્મીનો પ્રવાહ દાન છે, અને જે સાચું દાન આપનારો છે તે કુદરતી રીતે જ એક્સપર્ટ હોય છે. માણસને જોતાની સાથે જ સમજી જાય કે ભઈ જરા એ લાગે છે. એટલે કહે કે ભઈ, છોડીને લગન માટે રોકડા પૈસા નહીં મળે. તારે જે કપડાંલત્તાં જોઈતાં હોય, બીજું બધું જોઈતું હોય તે લઈ જજે. અને કહેશે કે છોડીને અહીં બોલાવી લાવ. તે છોડીને કપડાં, દાગીના બધું આપે. સગાંવહાલાંને ત્યાં મીઠાઈ પોતાને ઘેરથી મોકલાવી આપે. એવો વ્યવહાર બધો સાચવે, પણ સમજી જાય કે આ નંગોડ છે, રોકડા હાથમાં આપવા જેવો નથી. એટલે દાન આપનારાય બહુ એક્સપર્ટ હોય છે. સ્વર્ગ શું ને મોક્ષ શું ?પ્રશ્નકર્તા : સ્વર્ગ અને મોક્ષની વચ્ચે શું ફરક છે ? દાદાશ્રી : સ્વર્ગ તો અહીં જે પુણ્ય કરીને જાયને, પુણ્ય એટલે સારાં કામ કરે, શુભ કામ કરે, તો સ્વર્ગમાં જવાનું. પ્રશ્નકર્તા : સારાં કામ એટલે કેવાં ? (પા.૩૯૬)દાદાશ્રી : સારાં કામ એટલે લોકોને દાન આપે, કોઈને દુઃખ ના થવા દે, કોઈને મદદ કરે, ઓબ્લાઈઝિંગ નેચર રાખે, એવાં કર્મ નથી કરતા લોકો ? પ્રશ્નકર્તા : કરે છે. દાદાશ્રી : એટલે સારાં કામ કરે તો સ્વર્ગમાં જાય અને ખરાબ કામ કરે તો નર્કેમાં જાય. અને સારા-ખોટાનું મિક્ષ્ચર કરે, પણ તેમાં ઓછાં ખોટાં કરે, તે મનુષ્યમાં આવે. આવી રીતે ચાર ભાગે કામ કર્યાનાં ફળ મળતાં રહે અને મોક્ષમાં કામ કરનારો જઈ શકે નહીં. મોક્ષ માટે તો કર્તાભાવ ના રહેવો જોઈએ. જ્ઞાન આપે એટલે કર્તાભાવ તૂટે અને કર્તાભાવ તૂટે એટલે મોક્ષ થઈ જાય. એ નાણું પુણ્ય બાંધેપ્રશ્નકર્તા : બે નંબરના રૂપિયાનું દાન આપે તો તે ન ચાલે ? દાદાશ્રી : બે નંબરનું દાન ના ચાલે. પણ છતાંય કોઈ માણસ ભૂખે મરતો હોય અને બે નંબરનું દાન આપે તો પેલાને ખાવા માટે ચાલેને ! બે નંબરનું અમુક કાયદેસર વાંધો આવે, બીજી રીતે વાંધો નથી આવતો. એ નાણું હોટલવાળાને આપે તો એ લે કે ના લે ? પ્રશ્નકર્તા : લઈ લે. દાદાશ્રી : હા, તે વ્યવહાર ચાલુ જ થઈ જાય. પ્રશ્નકર્તા : ધર્મમાં બે નંબરનો પૈસો છે તે વપરાય છે, હમણાંના જમાનામાં તો એનાથી લોકોને પુણ્ય ઉપાર્જન થાય ખરું ? દાદાશ્રી : ચોક્કસ થાયને ! એને ત્યાગ કર્યોને એટલો ! પોતાની પાસે આવેલાનો ત્યાગ કર્યોને ! પણ એમાં હેતુ પ્રમાણે પછી એ પુણ્ય એવું થઈ જાય, હેતુવાળું ! આ પૈસા આપ્યા તે એક જ વસ્તુ જોવાતી નથી. પૈસાનો ત્યાગ કર્યો એ નિર્વિવાદ. બાકી પૈસા ક્યાંથી આવ્યા, હેતુ શો, આ બધું પ્લસ-માઈનસ થતાં જે બાકી રહેશે એ એનું. એનો હેતુ શો કે સરકાર લઈ જશે એના કરતાં આમાં નાખી દોને ! (પા.૩૯૭)એય હિંસા જપ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય તો એ હિંસાખોરી કહેવાય ? દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે. પ્રશ્નકર્તા : હવે એ ફોગટની કમાણી કરીને ધર્મમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ? દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો, જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની જવાબદારી એને ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે એ સારું છે, ખોટું નથી. પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ? દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીંને ! ’42 પછીની લક્ષ્મીપ્રશ્નકર્તા : પણ હવે જે સાચી મહેનતથી અને પ્રામાણિકપણે જે કમાયેલા પૈસા હોય, એવી લક્ષ્મી આવી હોય તો ત્યાં ધર્મ રહે કે ના રહે ? કે ત્યાં પણ નહીં ? દાદાશ્રી : અત્યારે ખરું પ્રામાણિકપણું હોતું જ નથી. ૧૯૪૨ પછી પ્રામાણિકપણાની લક્ષ્મી એક પણ માણસ પાસે નથી. પ્રશ્નકર્તા : દર મહિને અમે કામ કરીએ, નોકરી કરીએ, એનો જે પગાર મળે છે, એ પ્રામાણિક પૈસા ના કહેવાય ? દાદાશ્રી : પૈસો જ ખોટો છે ત્યાં આગળ ! ૧૯૪૨ પછી પૈસો જ (પા.૩૯૮)ખોટો છે. ’42 પહેલાં સાચો હતો. દરેક નોકરિયાતને વધતું જ ન હતું પહેલાં. અને અત્યારના નોકરિયાતને વધે છે. સાચો પૈસો વધે જ નહીં. મારું શું કહેવાનું છે ? સાચો પૈસો વધે જ નહીં. નિરપેક્ષ લૂંટાવોપ્રશ્નકર્તા : ઑનના પૈસા ભલે વપરાતા, છતાંય ધર્મની ધજા લાગી જાય છે, કે ધર્મના નામે ખર્ચ્યા. દાદાશ્રી : હા, પણ ધર્મના નામે ખર્ચે તો સારું છે. પણ ઑનના નામથી એ કરે ને, કારણ કે ઑન એ બહુ ગુનેગાર નથી. ‘ઑન’ એટલે શું કે સરકારનો પેલો ટેક્સ છે તે લોકોને ભારે પડી જાય છે, કે તમે અમારા ધાર્યા કરતાં વધારે મૂકો છો એટલે આ લોકો છુપાવે છે. પ્રશ્નકર્તા : કંઈક મેળવવાની અપેક્ષાએ જે દાન કરે છે, તે પણ શાસ્ત્રમાં મનાઈ નથી. એને વખોડતા નથી. દાદાશ્રી : એ અપેક્ષા ના રાખે તો ઉત્તમ છે. અપેક્ષા રાખે છે એ તે દાન નિર્મૂળ થઈ ગયું. સત્ત્વહીન થઈ ગયું કહેવાય. હું તો કહું છું કે પાંચ જ રૂપિયા આપો પણ અપેક્ષા વગર આપો. એ છે કૅમફ્લાઝ સમપ્રશ્નકર્તા : બે નંબરના જે પૈસા છે એ જ્યાં જાય ત્યાં ડખો થાય કે નહીં. દાદાશ્રી : પૂરી હેલ્પ નહીં કરે. આપણે ત્યાંય આવે છે, પણ તે કેટલા ? દસ-પંદર ટકા, પણ વધારે નથી આવતા. પ્રશ્નકર્તા : ધર્મમાં હેલ્પ ના કરે, જ્યાં જાય ત્યાં હેલ્પ ના થાય એટલી ? દાદાશ્રી : હેલ્પ ના કરે. આમ દેખાવમાં હેલ્પ કરે પણ પછી આથમી જતાં વાર ના લાગે. એ બધાં વૉર ક્વૉલિટીનાં સ્ટ્રક્ચર. વૉર ક્વૉલિટીનાં સ્ટ્રક્ચર બંધાયેલાં બધાં ! તમે જોયેલાંને ! એ બધાં કૅમફ્લાઝ છે. મનમાં શું ખુશ થવાનું કૅમફ્લાઝથી ? (પા.૩૯૯)એરણચોરી, સોયદાનપ્રશ્નકર્તા : ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે ? દાદાશ્રી : દાન કરે છતાં નર્કે જાય એવાય છે. કારણ કે દાન કોઈના દબાણથી કરે છે. એવું છેને કે આ દુષમકાળમાં દાન કરવાની લોકોની પાસે લક્ષ્મી જ નથી હોતી. દુષમકાળમાં જે લક્ષ્મી છે એ તો અઘોર કર્તવ્યવાળી લક્ષ્મી છે. માટે એનું દાન આપે તે તો ઊલટું નુકસાન થાય છે, પણ છતાંય આપણે કોઈક દુઃખિયા માણસને આપીએ, દાન કરવા કરતાં એની મુશ્કેલી દૂર કરવા માટે કરીએ તે સારું છે. દાન તો નામના કાઢવા માટે કરે, તેનો અર્થ શું ? ભૂખ્યો હોય તેને ખાવાનું આપો, કપડાં ના હોય તો કપડું આપો. બાકી આ કાળમાં દાન આપવા રૂપિયા ક્યાંથી લાવે ? ત્યાં સૌથી સારું તો દાન-બાન આપવાની જરૂર નથી. આપણા વિચારો સારા કરો. દાન આપવા ધન ક્યાંથી લાવે ? સાચું ધન જ નથી આવ્યુંને ! ને સાચું ધન સરપ્લસ રહેતુંયે નથી. આ જે મોટાં મોટાં દાન આપે છેને તે તો ચોપડા બહારનું, ઉપરનું નાણું આવ્યું છે તે છે. છતાંય દાન જે આપતા હોય તેને માટે ખોટું નથી. કારણ કે ખોટે રસ્તે લીધું અને સારા રસ્તે આપ્યું, તોય વચ્ચે પાપમાંથી મુક્ત તો થયો ! ખેતરમાં બીજ રોપાયું એટલે ઊગ્યું ને એટલું તો ફળ મળ્યું ! પ્રશ્નકર્તા : કવિરાજના પદમાં એક લીટી છેને કે, ‘દાણચોરી કરનારાઓ, સોયદાને છૂટવા મથે.’ - નવનીત તો આમાં એક જગ્યાએ દાણચોરી કરી અને બીજી જગ્યાએ દાન કર્યું, તો એ એટલું તો પામ્યોને ? એવું કહી શકાય ? દાદાશ્રી : ના, પામ્યો ના કહેવાય. એ તો નર્કમાં જવાની નિશાની કહેવાય, એ તો દાનતચોર છે. દાણચોરે ચોરી કરી અને સોયનું દાન કર્યું, એના કરતાં દાન ના કરતો હોય ને પાંસરો રહેને તોય સારું. એવું છેને કે છ મહિના જેલની સજા સારી, વચ્ચે બે દહાડા બાગમાં લઈ જાય એનો શો અર્થ ? (પા.૪૦૦)આ કવિ તો શું કહેવા માંગે છે કે આ બધા કાળાબજાર, દાણચોરી બધું કર્યું અને પછી પચાસ હજાર દાન આપીને પોતાનું નામ ખરાબ ના દેખાય, પોતાનું નામ ના બગડે એટલા માટે આ દાન આપે છે. આને સોયનું દાન કહેવાય. પ્રશ્નકર્તા : એટલે સાત્ત્વિક તો એવા આજે નથીને ? દાદાશ્રી : સંપૂર્ણ સાત્ત્વિકની તો આશા રાખી શકાય જ નહીંને ! પણ આ તો કોને માટે છે કે જે મોટા માણસો કરોડો રૂપિયા કમાય અને આ બાજુ એક લાખ રૂપિયા દાનમાં આપે. તે શા માટે ? નામ ખરાબ ના થાય એટલા માટે. આ કાળમાં જ એવું સોયનું દાન ચાલે છે. આ બહુ સમજવા જેવું છે. બીજા લોકો દાન આપે છે અમુક ગૃહસ્થ હોય છે, સાધારણ સ્થિતિના હોય છે, એ લોકો દાન આપે તેનો વાંધો નથી. આ તો સોયનું દાન આપીને પોતાનું નામ બગડવા ના દે, પોતાનું નામ ઢાંકવા માટે કપડાં બદલી નાખે છે ! ખાલી દેખાવ કરવા માટે આવાં દાન આપે છે ! ગાંઠનાં ગોપીચંદનગાંઠનાં ગોપીચંદન ખર્ચીને, ગજવાના પૈસા ખર્ચીને પાછા છલકાય. ગોપીચંદન એટલે ઘરના પૈસા, ગજવાના પૈસા. ગાંઠનું ગોપીચંદન એમ આપણામાં કહે છેને ? જ્યારે કંઈ પૈસા લોક વાપરેને, નામ કાઢવા માટે ત્યારે ગાંઠનું ગોપીચંદન વાપરે. તકતીમાં ડૂબ્યું દાનઅત્યારે આખી દુનિયાનું ધન ગટરમાં જઈ રહ્યું છે. આ ગટરોની પાઈપો મોટી કરી છે, તો શા હારુ કે ધનને જવા માટે સ્થાન જોઈએને ? કમાયેલું બધું ખાઈ-પીને ઢોળાઢોળ કરી ગટરમાં બધું જાય છે. એક પૈસો સાચા રસ્તે જતો નથી અને જે પૈસા ખર્ચે છે, કોલેજોમાં દાન આપ્યું, ફલાણું આપ્યું, એ બધું ઇગોઈઝમ (અહંકાર) છે ! ઇગોઈઝમ વગરનો પૈસો જાય તે સાચું કહેવાય. બાકી આ તો અહંકાર પોષવાનો મળી રહે, કીર્તિ મળ્યા કરે નિરાંતે ! પણ કીર્તિ મળ્યા પછી એનું ફળ આવે. પછી (પા.૪૦૧)એ કીર્તિ જ્યારે ઊંધી થાય ત્યારે શું થાય ? અપકીર્તિ થાય. ત્યારે ઉપાધિ, ઉપાધિ થઈ જાય. એનાં કરતાં કીર્તિની આશા જ ના રાખવી. કીર્તિની આશા રાખે તો અપકીર્તિ આવેને ? જેને કીર્તિની આશા નથી એને અપકીર્તિ આવે જ શાની ? કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તકતી મુકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલેને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તકતી મુકાવી એ તો ‘બેલન્સ શીટ’ પૂરી થઈ ગઈ. સોની નોટ તમે મને આપી ને મેં તમને છૂટા આપ્યા, એમાં મારે લેવાનુંય ના રહ્યું ને તમારે દેવાનુંય ના રહ્યું ! તમે આ ધર્માદા કરીને પોતાની તકતી મુકાવી તેને પછી લેવા-દેવાનું કશું રહ્યું નહીંને ! કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તકતી મુકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું. અમે મંદિરોમાં ને બધે ફર્યા. ત્યાં કેટલીક જગ્યાએ આખી ભીંતો તકતીઓ, તકતીઓ, તકતીઓથી ભરેલી હોય ! એ તકતીઓની વેલ્યુએશન (કિંમત) કેટલી ? એટલે કીર્તિ હેતુ માટે ! અને જ્યાં કીર્તિ હેતુ ઢગલેબંધ હોય ત્યાં માણસ જુએ જ નહીં કે આમાં શું વાંચવું ? આખા મંદિરમાં એક જ તકતી હોય તો વાંચવા નવરો હોય, પણ આ તો ઢગલાબંધ, આખી ભીંતોની ભીંતો તકતીઓવાળી કરી હોય તો શું થાય ? છતાંય લોક કહે છે કે મારી તકતી મુકાવજો ! લોકોને તકતીઓ જ પસંદ છેને !! માનના ભિખારીને...ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ, માનની ભીખ હોય. માન એટલે મને માન આપશે ને આ લોકોથી આમ મળશે. ને એ ઇચ્છા સેવવી, એ ભીખ જ છે એ તો. માનની ભીખ કેમ ખબર પડે ? ઘણા સાધુઓય કહે છે કે અમને માનની ભીખ નથી. હોવે ! હમણે અપમાન કરશે તો ખબર પડશે કે આ માનની ભીખ હતી કે શેની હતી ? અપમાનમાં ચિઢાય એટલે જાણવું કે (પા.૪૦૨)માન જોઈએ છે ! અને અમે અપમાનમાં ચિઢાઈએ નહીં એટલે માન જોઈતું નથી. એ ખાતરી થઈને ? પ્રશ્નકર્તા : થઈ. દાદાશ્રી : એટલે અમારે માનની ભીખ નહીં. કીર્તિની ભીખ નહીં, શેને માટે કીર્તિ ? દેહની કીર્તિ હોય, આત્માની કીર્તિ હોતી હશે ?! જેની અપકીર્તિ થાયને તેની કીર્તિ થાય. આત્માની તો કીર્તિય નહીં ને અપકીર્તિયે નહીં. દાન પણ ગુપ્તપણેપ્રશ્નકર્તા : આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છેને ? દાદાશ્રી : કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એને ઈન્ટરેસ્ટ ના પડે. કીર્તિ તો ફેલાય જ ને ! ચકચકિત હીરો હોય તે જોઈને સહુ કોઈ કહેને કે ‘કેટલું સરસ લાઈટ આવે છે, એરિયાં કેટલાં બધાં પડે, કહે ખરા, પણ એને પોતાને એમાં મજા ના આવે. જ્યારે આ સંસારી સંબંધની કીર્તિઓ છે, એ કીર્તિ માટે જ ભિખારી છે. કીર્તિની ભીખ છે એને એટલા હારુ લાખ રૂપિયા હાઈસ્કૂલમાં આપે, દવાખાનામાં આપે, પણ કીર્તિ એને મળી જાય એટલે બહુ થઈ ગયું ! પાછા તેય વ્યવહારમાં બોલે કે દાન ગુપ્ત રાખજો. હવે ગુપ્ત કો’ક જ આપે. બાકી સહુને કીર્તિની ભૂખ એટલે આપવું. તો લોકોય વખાણ કરે કે ભાઈ, આ શેઠ, ઓહોહો, લાખ રૂપિયાનું દાન આપ્યું ! એટલો એનો બદલો અહીંનો અહીં જ મળી ગયો. એટલે આપીને એનો બદલો અહીંનો અહીં જ લઈ લીધો. અને જેણે ગુપ્ત રાખ્યું એને બદલો આવતે ભવે લેવાનો રાખ્યો. બદલો મળ્યા વગર તો રહેતો જ નથી. તમે લો કે ના લો, પણ બદલો તો એનો હોય છે જ. પોતપોતાની ઇચ્છાપૂર્વક દાન આપવાનું હોય. આ તો બધું ઠીક છે, (પા.૪૦૩)વ્યવહાર છે. કોઈ દબાણ કરે કે તમારે આપવા જ પડશે. પછી ફૂલહાર કરે એટલે આપે એ. દાન ગુપ્ત હોવું જોઈએ. જેમ આ મારવાડી લોકો ભગવાનની પાસે છાનામાના નાખી આવે છેને ! કોઈને ખબરેય ના પડે તો એ ઊગે. વાહ-વાહની પ્રીતિઅરે, હું તો મારો સ્વભાવ માપી જોઉંને ! હું છે તે અગાસ જતો હતો. તે ઘડીએ કોન્ટ્રાક્ટનો ધંધો હતો. હવે સો રૂપિયાની કંઈ ભીડ નહીં, ’42 ને ૪૦, ’39 ને ’૩૫ની સાલમાંય અમારે સો રૂપિયાની ભીડ નહીં. તે દહાડે પૈસાની કિંમત બહુ. પૈસાની છૂટ હતી તોય પણ હું અગાસ જઉં ત્યારે ત્યાં આગળ રૂપિયા લખાવી લઉં. તે સોની નોટ કાઢીને કહું કે, ‘લો પચીસ લઈ લો ને પોણા સો પાછા આપો.’ હવે પોણા સો પાછા ના લીધા હોત તો ચાલત. પણ મન ચીકણું ને ભિખારી, તે પોણા સો લેતો. મન ચીકણું એટલે. પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યારે પણ કેટલું સૂક્ષ્મ જોતા હતા ? દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે આ સ્વભાવ, પ્રકૃતિ જાય નહીંને ! તે પછી મેં તપાસ કરી. આમ લોકો મને કહે કે ‘બહુ નોબલ છો તમે !’ મેં કહ્યું, ‘આ કેમનું નોબલ ?!’ અહીં આગળ ચીકાશ કરે છે. પછી તપાસ કરતાં મને પોતાને જડ્યું કે મને વાહ-વાહ કરે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયોય ન આપે. એ સ્વભાવ તદ્ન ચીકણો નહીં. પણ વાહ-વાહ ના કરે, ત્યાં ધર્મ હોય કે ગમે તે હોય, પણ ત્યાં અપાય નહીં અને વાહ-વાહ કરી કે બધી કમાણી ધૂળધાણી કરી નાખે. દેવું કરીનેય કરે. હવે વાહ-વાહ કેટલા દહાડા ? ત્રણ દહાડા. પછી કશુંય નથી. પોક પડી પછી બંધ થઈ જાય. ત્રણ દહાડા સુધી પોક પડે જરા. અને આ પાકા, પેલા (વાણિયા) બેઠા છેને, તે પાકા. એ વાહ-વાહથી છેતરાય નહીં. એ તો આગળ જમે થાય છે કે અહીંનું અહીં રહે છે ? પેલું વાહ-વાહવાળું તો અહીં વટાઈ ગયું. એનું ફળ લઈ લીધું મેં, (પા.૪૦૪)ચાખી લીધું મેં અને આ તો વાહ-વાહ ના ખોળે, ત્યાં ફળ ખોળે એ ઓવરડ્રાફ્ટ, બહુ પાકા, વિચારશીલ લોકોને ! આપણા કરતાં વધારે વિચારશીલ. આપણે તો ક્ષત્રિય લોકોનો એક ઘા ને બે ટુકડા ! બધા તીર્થંકરોય ક્ષત્રિય થયેલા. સાધુઓ જાતે કહે છે, અમારાથી તીર્થંકર થવાય નહીં. કારણ કે અમે સાધુ થઈએ તો વધુ ત્યાગ કરીને પણ એકાદ ‘ગીની’ રહેવા દઈએ અંદર ! કો’ક દહાડો અડચણ પડે તો ? એ એમની મૂળ ગ્રંથિ અને તમે તરત આપી દો. પ્રોમિસ ટુ પે એટલે બધું પ્રોમિસ જ ! બીજું આવડે નહીંને ! સમજણ નહીં મહીં. ‘થીંકર’ જ નહીં. પણ છુટકારો વહેલો એમને મળે. પ્રશ્નકર્તા : છુટકારો વહેલો મળે !! દાદાશ્રી : હા, એ લોકો મોક્ષે જાય. કેવળજ્ઞાન થાય. પણ તીર્થંકરો તો આ ક્ષત્રિયો જ હોય. એ લોકો બધા કબૂલ કરે કે મારી પાસે, આપણે ક્ષત્રિય કહેવાઈએ. આપણને પેલું આવડે નહીં. એવું આવડે નહીં. બહુ ઊંડું આ. અને આ તો વિચારશીલ પ્રજા ! બધું વિચારી વિચારીને, દરેક વસ્તુ વિચારીને કામ કરે. અને આપણે (ક્ષત્રિયોને) પસ્તાવાનો પાર નહીં. પેલાને પસ્તાવો ઓછો આવે. જુઓને, મને યાદ આવે છે. સો આપવાના તેના પોણા સો પાછા લઉં. મને આ દેખાય છે, હજુયે. એ ઓફિસ દેખાય છે. પણ મેં કહ્યું, ‘આવો ઢંગ !’ આ લોકોનાં કેવાં મોટાં મન હોય છે ! હું મારા ઢંગને સમજી ગયેલો. ઢંગ બધા. આમ મોટું મનેય ખરું. પણ વાહ-વાહ, ગલીપચી કરનાર જોઈએ. ગલીપચી કરી કે ચાલ્યું. પ્રશ્નકર્તા : દાદા, એ જીવનો સ્વભાવ છે. દાદાશ્રી : હા, એ પ્રકૃતિ, બધી પ્રકૃતિ છે. ત્યાં ‘પોતે’ સ્વીકારે નહીંપ્રશ્નકર્તા : હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહ-વાહ કરે તો એ આખું ઊડી ના જાય ? (પા.૪૦૫)દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાઈ તે બહાર પડી જાય ને તેની વાહ-વાહ બોલાય. અને એવી રકમોય દાનમાં જાય કે જેને કોઈ જાણે નહીં ને વાહ-વાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો ‘જમાડે’ ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહ-વાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે’ સ્વીકારે નહીંને ! આ દાદાનીય લોક વાહ-વાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે’ સ્વીકાર કરે નહીંને ! આ દાદાનીય લોક વાહ-વાહ કરે છે. પણ અમે એને સ્વીકારીએ નહીં અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીંને ! લોકો તો વાહ-વાહ કર્યા વગર રહે નહીં પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો ? સ્વીકારે તો રોગ પેસેને ?! જે વાહ-વાહ સ્વીકારતો નથી એને કશું જ હોતું નથી. વાહ-વાહ પોતે સ્વીકારતો નથી. એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે એને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે. જે વખાણ કરે અને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે ‘આ પણ કરવા જેવું ખરું, આપણે તો આવું જાણતા જ નહોતા !’ ત્યાં ખીલે આત્મશક્તિઓબાકી જોડે પેલું આવવાનું છે. આ જોડે આવે નહીં. અહીં તરત ને તરત કિંમત મળી જાય એની કિંમત વાહ-વાહ તરત મળી જાય. અને આત્મા માટે મૂકેલું હોય એ જોડે આવે. પ્રશ્નકર્તા : જોડે શું આવવાનું, કહ્યું ! દાદાશ્રી : જોડે તો આપણે પેલું આપીએ ત્યાં, આત્મા માટે તે આપણા આત્માની શક્તિ એકદમ ખીલી જાય. એ આપણી જોડે આવ્યું. પ્રશ્નકર્તા : અને અહીં તો જે વાપર્યું, એ તો વાહ-વાહ કરે એ જ મળેને ? (પા.૪૦૬)દાદાશ્રી : મળી ગયું. વાહ-વાહ મળી ગઈ. કોઈના નિમિત્તે કોઈને મળે ?પ્રશ્નકર્તા : વાહ-વાહ તો જેને માટે વાપર્યું એને જાયને ? નહીં કે તમને. તમે જેને માટે જે કાર્ય કરો છો, એનું ફળ એને જાય. આપણે જે પુણ્ય કરીએ, જેના માટે તે એને મળે. આપણને ના મળે. કરે એને ના મળે. દાદાશ્રી : આપણે કરીએ ને પેલાને મળે ? એવું સાંભળ્યું છે કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : એના નિમિત્તે આપણે કરીએ છીએને ? દાદાશ્રી : એના નિમિત્તે આપણે કરોને, એના નિમિત્તે આપણે ખાતા હોય તો શું વાંધો ? ના, ના, એ બધું આમાં ફેર નથી. આ તો બધું બનાવટ કરીને લોકોને અવળે રસ્તે ચઢાવે. એના નિમિત્તે !! એને ખાવાનું ના હોય ને આપણે ખાઈએ તો શું ખોટું ? બધું કાયદેસર જગત છે આખું ? વાહ-વાહમાં પુણ્ય વપરાઈ જાયપ્રશ્નકર્તા : આ કહો છો એવો કાયદો હોય તો તો હીરાબાનું વાપર્યું એટલે તમને પુણ્ય મળે. દાદાશ્રી : મને શું મળે ? અમારે લેવાદેવા નહીં. મારે તો કશું લેવાદેવા જ નહીં ને ! આમાં પુણ્ય બંધાય નહીં આ. આ તો પુણ્ય ભોગવાઈ જાય. વાહ-વાહ બોલાઈ જાય. અગર તો કોઈ ખરાબ કરી જાય તો મૂઆએ જુઓને, બગાડ્યું બધું કહેશે. એટલે અહીંનું અહીં જ બધું થઈ જાય. હાઈસ્કૂલ બંધાવી’તી, તે અહીં ને અહીં જ વાહ-વાહ થઈ ગઈ. ત્યાં મળે નહીં. પ્રશ્નકર્તા : સ્કૂલ તો છોકરાઓ માટે બનાવી, એ લોકો ભણ્યા-ગણ્યા, સદ્વિચાર ઉત્પન્ન થયા. (પા.૪૦૭)દાદાશ્રી : એ જુદી વસ્તુ છે. પણ તમારી વાહ-વાહ મળે તે થઈ ગયું, વપરાઈ ગયું. બહાર સ્વીકારે, મહીં વીતરાગપ્રશ્નકર્તા : લોક વાહ-વાહ કરે, પણ પોતે સ્વીકાર ના કરતો હોય તો ? દાદાશ્રી : સ્વીકાર ના કરે કે કરે, લોક વાહ-વાહ કરે તો થઈ ગયું. કોણ સ્વીકાર ના કરે એવું છે ? રામચંદ્રજી કરતા’તા, કૃષ્ણ ભગવાન સ્વીકાર કરતા’તા. બધાય સ્વીકાર કરતા’તા. પ્રશ્નકર્તા : આ બધાએ સ્વીકાર કર્યું તો ‘દાદાએ મારું આ કર્યું.’ એવું કોઈ બોલે તો તમે સ્વીકાર કરો છો ? દાદાશ્રી : ત્યારે મને કડવું લાગતું હશે ? આ બધા બોલે કે દાદાએ સારું કર્યું, તે મીઠું જ લાગેને ! મીઠું છે છતાં એના પર અમને રાગ નથી અને કોઈ કડવું બોલે તો એની ઉપર દ્વેષ નથી. પ્રશ્નકર્તા : એ જ સ્વીકાર-ના સ્વીકારવાની વાત છે. એવું આ બધા સ્વીકારતા’તા રાગદ્વેષથી ? રામચંદ્રજી કે કૃષ્ણ ભગવાન ? દાદાશ્રી : આવી રીતે સ્વીકારેને ! પ્રશ્નકર્તા : એને સ્વીકારેલું જ નહીંને. દાદાશ્રી : ત્યારે બીજું શું કહેવાય ? જગતેય એને જ સમજે છેને ? પ્રશ્નકર્તા : રાગદ્વેષ વગરનો. બીજું બધું બહાર ખરું ને વઢેય ખરા. પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને યુદ્ધ કરાવડાવ્યું. દાદાશ્રી : હા, પણ બહાર તો ખરું ધાંધલ-ધમાલ, બધું બહાર ખરું. બહાર તો ગાળંગાળ કરે પણ રાગદ્વેષ નથી. (પા.૪૦૮)આખો બહારનો વ્યવહાર જ પરાધીન છે અને આંતરિક વ્યવહાર સ્વાધીન છે. એટલે પરાધીનતામાં શું કરી શકે ? પરિગ્રહ છૂટ્યે, આત્મા પ્રગટેપ્રશ્નકર્તા : પણ મમતા કે ક્રોધ-માન-માયા-લોભ બધું જ્ઞાનથી છૂટેને ? દાદાશ્રી : જ્ઞાનથી તો આત્માની પ્રતીતિ બેસે કે હું શુદ્ધાત્મા છું, એવું ભાન થઈ જાય પછી ચારિત્ર બધું આનાથી થાય, સ્ટેડી થાય. પ્રશ્નકર્તા : આયે વ્યવહાર ચારિત્ર થયું ને આ વ્યવહાર ચારિત્રમાં ગયુંને ? દાદાશ્રી : એ કામનું નહીં. મૂળ ચારિત્ર જોઈએ. મૂળ ચારિત્ર આનાથી આવે, નહીં તો આવે નહીં. ચેતવે જ્ઞાની, લક્ષ્મી-મમતથીપ્રશ્નકર્તા : મમતાનો વિસ્તાર કેટલો મોટો હોય છે. મમતાનો વિસ્તાર કંઈ નાનો નથી રહેતો. દાદાશ્રી : કોણ કહે છે નાનો ? તમે નાનો સમજો છો. મમતા ઉપર તો આખી ડિઝાઈન હોય. તમે જેટલું સમજો છોને એનો એક અંશ પણ નથી આ વાત. મમતાની બહુ મોટી ડિઝાઈન છે. એટલી વિસ્તૃત છે. પ્રશ્નકર્તા : એ બધું સમજાવવાની જરૂર છે. દાદાશ્રી : બધું સમજાવી દીધેલું જ છેને. પણ છોડેલું નથીને. માણસથી જરાક પણ છોડવું મુશ્કેલ છે. છોડી પૈણાવવી હોય તો પૈણાવી દે, ત્રણ લાખ રૂપિયા ખર્ચીને બાકી આમ છોડવું મુશ્કેલ છે. તે આ કમાઈને બે લાખ છૂટ્યા તે મને બહુ ઉત્તમ લાગ્યું કે પાટીદાર થઈને ! પ્રશ્નકર્તા : મમતા એકલી કંઈ લક્ષ્મી ઉપર જ નથી હોતી, પણ બીજી બધી કેટલી જગ્યાએ હોય. (પા.૪૦૯)દાદાશ્રી : પણ આ લક્ષ્મીમાં જ મમતા છૂટે તો બહુ થઈ ગયું. બીજી મમતા તો છૂટી જાય. લક્ષ્મીને લઈને આ બધી વસ્તુઓ ચોંટેલી છે. પ્રશ્નકર્તા : બૈરી છે, છોકરાં છેને ? દાદાશ્રી : એ બધી લક્ષ્મીને લઈને જ. અને વિષય પણ ભટકાવડાવે. વિષયની ને લક્ષ્મીની બેની મમતા છૂટવી જોઈએ. પ્રશ્નકર્તા : આવ્યુંને, વિષયમાં બૈરી-છોકરાં આવ્યુંને ? દાદાશ્રી : એ વિષય તો છોડી શકે. લક્ષ્મી છૂટે નહીં કોઈને, તેથી કહ્યું છેને ! આ મમતા દબડાવીને પણ છોડાવી લેવી ! પ્રશ્નકર્તા : શીલદર્શકમાં ચોખ્ખું કહ્યું છે, દાદાએ પાને પાને કહ્યું છે કે બધું છૂટે પણ વિષય જ ના છૂટે. છેલ્લામાં છેલ્લો વિષય જાય. દાદાશ્રી : વિષય ને લક્ષ્મી બે ના જાય. લક્ષ્મી છે તે વિષયને છોડી આપે અને વિષય તો જ્યાં છૂટી ગયેલા છે ને અને જે વિષય સ્ત્રીસંબંધી છે, તે દાદા ભગવાન છોડી આપે છે, પણ લક્ષ્મી તો ના છૂટે. વિષય છોડી આપે પણ લક્ષ્મી ના છૂટે. એ થર્મોમિટર જ્ઞાની પાસેપ્રશ્નકર્તા : કોઈને છૂટ્યું કે નથી છૂટ્યું એ આપણને કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : અમને બધી ખબર પડે. પ્રશ્નકર્તા : એ અંદરની વસ્તુ છે ને વાપરતો હોય કે ના વાપરતો હોય, પણ અંદર શું છે એ શું ખબર પડે ? એના ડિસ્ચાર્જમાં હોય. અહીં અંદરખાને હોય એ શું ખબર પડે ? દાદાશ્રી : ડિસ્ચાર્જમાં હોય કે ના હોય તે જરા જુદું છે. ડિસ્ચાર્જ તો હોય જ. પણ મમતા છૂટવી મુશ્કેલ છે. (પા.૪૧૦)સ્થૂળ કર્મ : સૂક્ષ્મ કર્મપ્રશ્નકર્તા : આ જીવનમાં જે કર્મ સારું કે નરસું થાય તેનું ફળ આ જીવનમાં મળે કે આવતા જીવનમાં ? દાદાશ્રી : એની બે રીત છે. અહીં વાણીથી દરેકને ગાળ દઈએ કે હાથેથી કો’કને માર્યો તેનું ફળ અહીં ને અહીં મળે. અને માનસિક સૂક્ષ્મ કર્મ, ભાવકર્મ જેને કહેવામાં આવે છે, તેનું ફળ આવતે ભવે મળે. બે જાતનાં કર્મો, એક સ્થૂળ કર્મ અને એક સૂક્ષ્મ કર્મ. સ્થૂળ કર્મનું ફળ અહીંનું અહીં જ મળે. આ ભાઈ કો’કને માર મારી આવ્યો ત્યાં આગળ, તો પેલો જ્યારે ત્યારે લાગ જોઈને પાછો આપી જાય. તેનું અહીંનું અહીં જ ફળ મળી જાય. શુભ ભાવ કર્યે જાવપ્રશ્નકર્તા : એક તરફ મહીં ભાવ થાય કે મારે આમ દાનમાં બધું આપી દેવું છે, પણ રૂપકમાં એય થતું નથી. દાદાશ્રી : એ અપાય નહીંને ! આપવું કંઈ સહેલું છે ? દાન આપવું એ તો અઘરી વસ્તુ ! તેમ છતાં ભાવ કરવો. નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતા ભવે મળે. દાન તો ભમરડા શી રીતે આપે ? અને જો આપે છે તે ‘વ્યવસ્થિત’ અપાવડાવે છે, તેથી આપે છે. ‘વ્યવસ્થિત’ કરાવડાવે છે એટલે માણસ દાન કરે છે. અને ‘વ્યવસ્થિત’ નથી કરાવડાવતું એટલે માણસ દાન નથી કરતા, ‘વીતરાગ’ ને દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો ‘શુદ્ધ ઉપયોગી’ હોય ! થાય આંતરિક ભાવ ફલિતઆ ‘વીતરાગો’નું સાયન્સ કેવું છે ? આજે એક જણે દાન આપ્યું પચાસ હજાર અને પછી એ માણસ આપણને કહેતો હોય અહીં આગળ કે આ તો શેઠના દબાણને લીધે આપ્યા છે, નહીં તો હું કોઈ દહાડોય આવા પૈસા આપું નહીં. હું કંઈ કાચી માયા નથી. બોલો હવે, ‘વીતરાગ’ના ચોપડે શું જમે થાય ? (પા.૪૧૧)પ્રશ્નકર્તા : કાંઈ નહીં. દાદાશ્રી : તો આપેલા એના મફત ગયા ? અત્યારે આપે છે એ મફત જાય નહીં. આ વીતરાગો કેટલા ડાહ્યા છે ને કેટલા પાકા છે, તેનો દાખલો આપું છું. હવે એ બોલેને કે આ શેઠના દબાણને લઈને મેં આપ્યા છે. તે ‘વીતરાગ’ તો જ્યાં ને ત્યાં હોય છે જ ને ? દેહધારીમાં વીતરાગ બેઠેલા હોયને ? તે નકામું ગયું એમનું ? ના. ત્યારે કંઈ કામમાં આવ્યું ? હા, એણે રોકડા સ્થૂળમાં આપ્યા એટલે એનું ફળ સ્થૂળમાં, તો એને રોકડા અહીંનું અહીં મળી જવાનું. અહીં એને કીર્તિ મળે. આ જેટલું મિકેનિકલ છેને, એ મિકેનિકલ ભાગને કીર્તિ ને અપકીર્તિ બેઉ મળે છે. અને પછી સર્વનાશ થઈ જાય છે. પણ એણે જે સૂક્ષ્મમાં ભાવ કર્યો હતો કે હું આપું એવો છું નહીં, તે આવતે ભવ એનું ફળ આવશે. હવે ત્યાં આગળ તો ભાવિ ભાવ કર્યો હતો તે જુએ છે. પ્રશ્નકર્તા : દાન આપે તે તો નિમિત્તથી દાન આપે છેને ? દાદાશ્રી : એ દાન આપે છે તે પૂર્વભવે ભાવેલું છે માટે આજે આપે છે. પણ ઊંધી ભાવના આજે કરે છે તે એનું ફળ આવતે ભવ આવશે. અત્યારે બીજ પડી રહ્યું છે કે હું કોઈને આપું એવો છું નહીં, એટલે દાન આપ્યું છતાં બીજ અવળું પડ્યું ! અને જો એવું કહે કે, ‘આ પચાસ હજાર રૂપિયા આપ્યા તે બહુ સારું થયું. આ શેઠ હોત નહીં તો મારાથી અપાત નહીં. આ તો શેઠ હતા તે અપાયા મારાથી, તે બહુ સારું થયું.’ તો એ ઊંચો ભાવિભાવ કર્યો એણે ! ભાવિભાવ એટલે આજે જ્ઞાન ફેરવ્યું. એણે વ્યવહારજ્ઞાન શુદ્ધ કર્યું એને શાસ્ત્રમાં ભાવિભાવ કહેલો છે. હવે અહીં કોઈકને ગાળો ભાંડીને આવ્યા અને પછી કહેશે કે ‘આ કરવા જેવું હતું’ તો શું થાય ? એક તો દુનિયામાં અપજશ મળ્યો અને પાછું ત્યાંયે ભાવિભાવનો હિસાબ ઊંધો બંધાય. એટલે શું કહેવા માગીએ છીએ કે સ્થૂળ ફળ બધું અહીંનું અહીં જ પતી જાય એવું છે. એ ત્યાં જોડે આવે એવું નથી. પણ મહીં સૂક્ષ્મમાં તમારે આટલું ફેરવવાનું. જેમ પેલા માણસે ફેરવ્યું કે ભલે અણસમજણથી (પા.૪૧૨)કે લૌકિક સમજણથી ફેરવ્યું કે આ શેઠના દબાણથી આપ્યું, નહીં તો હું આપું એવો નથી. પણ આ છે તે ઊંધું જ્ઞાન છે. અને મારા જેવો મળી જાય તો એને સમજણ પાડું કે બોલ, શેઠ હતા તો અપાયા, તે બહુ સારું થયું. એને સમજણ પાડ્યા વગર છતું જ્ઞાન થાય નહીં. પ્રશ્નકર્તા : આને ધર્મધ્યાન ના કહેવાય ? દાદાશ્રી : આ ધર્મધ્યાન જ કહેવાય. મારા દરેક વાક્ય જોડે ધર્મધ્યાન અવશ્ય હોય જ. આ ‘જ્ઞાન’ આપ્યું છે તમને એટલે શુક્લધ્યાન મહીં છે અને ધર્મધ્યાન મારા વાક્યને લઈને ઉત્પન્ન થાય અને જ્યાં ધર્મધ્યાન રહ્યું અને અંદર શુક્લધ્યાન રહ્યું તે જ સંપૂર્ણ મોક્ષનું સાધન છે. આ બધાં જ વાક્યો ધર્મધ્યાન માટેનાં છે. આ શુક્લધ્યાનેય ધર્મધ્યાનના રક્ષણથી રહે એવું છે. સાયન્ટિફિક સમજએટલે આ બધો સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) રસ્તો છે. વખતે તમને ઊંધું જ્ઞાન ઊભું થાય, એવું ને તોયે તમને બોજો શું ? તમારે દાદાના કહ્યા પ્રમાણે જ્ઞાન રાખવાનું કે આમ ના હોવું ઘટે. આપણે કહીએ કે ચંદુભાઈ આ ખોટું કરો છો. આવું ના હોવું ઘટે. આવું બોલ્યા એટલે તમે આવતા ભવને માટે છૂટ્યા. અહીં તો અપજશ મળશે ! પેલું જેમ સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય છે તો ઊંધી વસ્તુ થયેલી, સારું બોલવાથી સુધરી જાય એવું આ વિજ્ઞાન છે. માટે ઊંધાનો શો દોષ છે ? તમને સારું બોલતાં આવડ્યું છે હવે ! અને આ બહારનું સ્થૂળ બધું મિકેનિકલ છે, તદ્દન મિકેનિકલ છે. પચાસ હજાર આપ્યા એમાં કંઈ દહાડો વળ્યો નહીં. એની પાછળ સૂક્ષ્મમાં ભાવિભાવ શું છે ? એ વીતરાગો જુએ છે. આ તો ત્યાં આગળ આપ્યા. તે ભાવથી એણે આપ્યા. ભાવ વગર અપાય નહીં પણ એ ભાવ પહેલાના પુરુષાર્થથી જાગ્યો. પણ આ ફેરો પાછો એણે પુરુષાર્થ શું માંડ્યો ? કે આ શેઠના દબાણથી આપ્યા. આપું એવો નથી એવું અત્યારે એનું જ્ઞાન ઊંધું થઈ ગયેલું છે. (પા.૪૧૩)મુક્તિ, વીતરાગ વિજ્ઞાનથીત્યારે આ વીતરાગ વિજ્ઞાન તમને કેટલું મુક્ત કરે એવું અંદર છે ! વિચારતાં નથી લાગતું ?! કેવું સુંદર છે ! જો સમજે તો ‘જ્ઞાની પુરુષ’ પાસે સમજી લે અને બુદ્ધિ પોતાની સમ્યક્ કરાવી લે તો કામ ચાલે એવું છે. વ્યવહારનાં લોકોય મારી પાસે બુદ્ધિ એમની સમ્યક્ કરાવી લે, મારી જોડે થોડાક વખત બેસીને ભલે જ્ઞાન ના લીધું હોય, તોયે મારી સાથે થોડોક વખત બેસે તો બુદ્ધિ સમ્યક્ થઈ જાય, તે એનું કામ આગળ ચાલે ! આ જ્ઞાન ના હોય ત્યારે શી દશા થાય ? એવું જો માણસ સમજે તો કામનું ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર તો આનો પાર જ નથી આવે એવો. દાદાશ્રી : પાર જ નથી આવે એવો. એ તો વાત જ કરવા જેવી નથી. એ પચાસ હજાર રૂપિયા દાન આપતો હોય, તોય તમને પાછો શું કહે, ‘આ શેઠનું દબાણ છે, એટલે આપું, નહીં તો આપું નહીં.’ પોતે એકલો જાણે એટલું જ નહીં. તમને હઉ જણાવે. પાછો બીજાને જણાવે કે ‘હું તો આવો પાકો છું. આ જુઓ છોને, આ બધું બહાર તો ?’ નકામા ધૂળધાણી થઈ ગયા. એટલે આ સત્સંગમાં પડી રહ્યા. તેનું કામ થઈ ગયુંને ! આખી દુનિયાની ભાંજગડ ગઈને ! વધારાનું વહાવોઆ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએને તો તે કહે કે, ‘‘ના’, આ શું કરવા આમ આ ખાડામાં પડે છે ?’’ આ દુઃખના ખાડામાંથી નીકળ્યો ત્યારે આ પૈસાના ખાડામાં પડ્યો પાછો. વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જમે છે. ને આ બેન્કનું જમે નહીં થાય. વધારે હોય તો નાખી દે ધર્માદામાં. અને અડચણ નહીં પડે તને. જે ધર્માદામાં નાખતો હોય તેને અડચણ પડે નહીં. છોકરાઓને આપવું કેટલું ?પ્રશ્નકર્તા : એટલે પુણ્યના ઉદયે જોઈએ તેના કરતાં વધારે લક્ષ્મીની (પા.૪૧૪)પ્રાપ્તિ થાય તો ? દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહુ રાખવી નહીં. એમને ભણાવવા, ગણાવવા, બધું કમ્પ્લિટ કરી, એમને સર્વિસે લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામે) લાગ્યાં, એટલે બહુ રાખવી નહીં. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું. દસ-વીસ હજાર, તે કો’ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહીં કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે. એક માણસે મને પ્રશ્ન કર્યો કે, ‘છોકરાંને કશું ના આપવું ?’ મેં કહ્યું, ‘છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ. પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાંય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી (મિલકત) ખરી તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે. દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશેને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ? પ્રશ્નકર્તા : વધારે તો ક્યારે કહેવાય ? ટ્રસ્ટી તરીકે રહે તો. દાદાશ્રી : ટ્રસ્ટી તરીકે રહેવું ઉત્તમ છે. પણ એવું ન રહી શકાય, બધાથી ના રહી શકાય. તેય સંપૂર્ણ ટ્રસ્ટી તરીકે ના રહેવાય. ટ્રસ્ટી એટલે તો જ્ઞાતા-દ્રષ્ટા થયો. પણ ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ ના રહેવાય. પણ ભાવ એવો હોયને તો થોડું ઘણું રહી શકાય. અને છોકરાંને તો કેટલું આપવાનું હોય ? આપણા ફાધરે આપ્યું હોય, કંઈ ના આપ્યું હોય તોય આપણે કંઈ ને કંઈ આપવું જોઈએ. છોકરા દારૂડિયા બને ખરા, બહુ વૈભવ હોય તો ? (પા.૪૧૫)પ્રશ્નકર્તા : હા, બને. છોકરાઓ દારૂડિયા ન બને એટલું તો આપવું જોઈએ. દાદાશ્રી : એટલું જ આપવું જોઈએ. પ્રશ્નકર્તા : વધારે વૈભવ આપીએ તો એવું થઈ જાય. દાદાશ્રી : હા, એ હંમેશાય એનો મોક્ષ બગાડશે. હંમેશા પદ્ધતિસર જ સારું. છોકરાંને વધુ આપવું એ ગુનો છે. એ તો ફોરેનવાળા બધા સમજે છે. કેવા ડાહ્યા છે. આમને તો સાત પેઢી સુધીનો લોભ ! મારી સાતમી પેઢીના મારા છોકરાને ત્યાં આવું હોય. કેટલા લોભિયા છે આ લોકો ? છોકરાને આપણે કમાતો-ધમાતો કરી આપવો જોઈએ. એ આપણી ફરજ અને છોડીઓને આપણે પૈણાવી દેવી જોઈએ. છોડીઓને કંઈક આપવું જોઈએ. અત્યારે છોડીઓને પાર્ટ અપાવડાવે છે ને ભાગીદાર તરીકે ? પૈણાવીએ તે એમાં ખર્ચ થાયને ? તે ઉપરથી થોડું ઘણું આપીએ. એને જણસો આપી, તે આપીએ જ છીએને ! પણ પોતાનું તો પોતે વાપરવું જોઈએ. પ્રશ્નકર્તા : છોકરાઓને ઘર, ધંધો આપવો અને દેવું આપવું ને ? દાદાશ્રી : આપણી પાસે મિલિયન ડોલર હોય કે અડધો મિલિયન ડોલર હોય તોય છોકરો જે મકાનમાં રહેતો હોય, તે છોકરાને આપવાનું. તે પછી એક ધંધો કરી આપવો. એને ગમતો હોય તે. કયો ધંધો ગમે છે એ પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને ૨૫-૩૦ હજાર બેંકના લઈ આલવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. પછી છોકરો કહે કે ‘આ વર્ષમાં મારે લોન ભરાતી નથી.’ લોન ભરાતી નથી. ત્યારે કહીએ કે હું લાવી આપું, તને પાંચ હજાર. પણ આપી દેવાના વહેલા. એટલે પાંચ હજાર લાવી આપવાના. પછી આપણે પેલા પાંચ હજાર સંભારીએ. ‘પેલા વહેલા આપી દેવાના છે, એવું કહ્યું છે.’ આવું સંભારીએ તો છોકરો કહે, ‘તમે કચકચ ના કરશો હમણે.’ એટલે આપણે સમજી જવાનું. ‘બહુ સારું છે એ.’ એટલે ફરી લેવા જ ના આવેને ! આપણને વાંધો નહીં, ‘કચકચ કરો (પા.૪૧૬)છો’ એવું કહે તેનો, પણ લેવા આવે નહીંને ! એટલે આપણી સેફસાઈડ આપણે રાખવાની અને પછી ખોટા ના દેખાઈએ, છોકરા પાસે. છોકરો કહેશે, ‘બાપા તો સારા છે, પણ મારો સ્વભાવ વાંકો છે. હું અવળું બોલ્યો તેથી. બાકી બાપા બહુ સારા છે !’ એટલે છટકી, નાસવું આ જગતમાંથી. આદર્શ વિલપ્રશ્નકર્તા : આપણી જે મિલકત હોય, તેનું વિલ બનાવવું હોય છોકરાં માટે, તો આદર્શ વિલ કઈ રીતેનું હોવું જોઈએ ? એક છોકરો ને એક છોકરી હોય તો ? દાદાશ્રી : છોકરીને અમુક પ્રમાણમાં આપવું. આપણે છોકરાને પૂછવું, ‘તારે શું ધંધો કરવો છે ? શું કરવું છે ? સર્વિસ કરવી છે ?’ આપવું પણ અમુક પ્રમાણમાં અડધી મૂડી તો આપણી પાસે રહેવા દેવી. એટલે પ્રાઈવેટ ! એટલે જાહેર કરેલી નહીં. બીજી બધી જાહેર કરવી અને કહેવું કે અમારે જોઈએ, પણ અમારાં બે જણને જીવતાં સુધી જોઈએને ?’ કહીએ અને પાછું દેવું કરી આલવું બેંકનું. બેંકનું દેવું ના કરે એ ધંધો ના કરવો. એટલે ગોદા મારનાર જોઈએ એને. જેથી દારૂ ના પીવે. સમજ પડીને ? એટલે આપણે પદ્ધતિસર, સમજણપૂર્વક કામ કરવું. પ્રશ્નકર્તા : પણ માણસ મરી જાય, પછીનું વિલ કેવું હોવું જોઈએ ? દાદાશ્રી : ના, મર્યા પછી તો આપણે જે છેને, આપણી પાસે અઢી લાખ રૂપિયા વધ્યા છે, તે તો આપણી હાજરીમાં જ મર્યા સુધી રહેવા જ ના દેવું. બનતા સુધી ઓવરડ્રાફ્ટ કરાવી જ લેવા. દવાખાનાના, જ્ઞાનદાનના બધા ઓવરડ્રાફ્ટ કઢાવી લેવા અને પછી વધે તે છોકરાઓને આપવા, તે વધારવાય ખરા થોડાક. એ લાલચ એમની છેને, તે લાલચ હારુ પાંચ હજાર રાખવા, પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફ્ટ કઢાવી લેવાના, આવતે ભવ. આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારના ઓવરડ્રાફ્ટ અત્યારે વાપરો છો. તો આ અવતારમાં ઓવરડ્રાફ્ટ ના કાઢવો પડે ? આ શું કહેવાય ? (પા.૪૧૭)પ્રશ્નકર્તા : ઓવરડ્રાફ્ટ. દાદાશ્રી : હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિત માટે, લોક કલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફ્ટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખરા. છોકરાનું હિત કેવી રીતે કરવું તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી. દુઃખ-આનંદનો કાયદોપ્રશ્નકર્તા : લોકો બીજાને જમાડવામાં કેમ લાગણી વધારે બતાડે છે ? આગ્રહ કરીને જમાડે છે અને કોઈને જમાડવામાં આનંદ અનુભવે છે ? દાદાશ્રી : એ જમાડવામાં જ નહીં, પણ તું આ બધાને આઈસક્રીમ ખવડાવું તોય તને આનંદ થાય. આ લોકોને તું ગમે તે આપું, તો તને આનંદ થાય. તું તારું છોડું કે તને આનંદ થાય. અને તે લઈ લીધું એટલે દુઃખ. આ જગતમાં લેવાનું શીખ્યા, આપવાનું નથી શીખ્યા. તેનાં આ દુઃખો વધ્યાં. આપવાથી સુખ ઉત્પન્ન થાય એટલે એકલું જમાડ્યા ઉપર નહીં, પણ કંઈ પણ આપવાથી, અરે ! રૂપિયા હોય ને ‘આવો પધારો’ એમ કહીએ તોય આનંદ થાય. એ વ્યવહાર સારો ગણાયપ્રશ્નકર્તા : હીરાબાની બાબતમાં તમે આ એમની પાછળ વાપર્યું એ વ્યવહારમાં કેવું કહેવાય ? દાદાશ્રી : આ સંસાર વ્યવહારમાં સારું કહેવાય એ. પ્રશ્નકર્તા : આપણે રહેવાનું સંસાર વ્યવહારમાં જ. દાદાશ્રી : આ સંસારના વ્યવહારમાં ખરું, પણ એમાં સારું દેખાય આ. અને એ તો સારું દેખાય એટલા માટે હું ના કરું. એ તો હીરાબાની (પા.૪૧૮)ઇચ્છા હતી. એટલે મેં કર્યું. આ મને સારું-ખોટાની પડેલી ના હોય તે છતાં ખોટું ના દેખાય - એવું રહેતા હોઈએ. પ્રશ્નકર્તા : એ તો તમારા માટે વાત થઈ પણ અમારે માટે શું ? દાદાશ્રી : તમારે થોડું વર્તવું પડે, સાધારણ બહુ ખેંચવાની જરૂર નહીં, સાધારણ વર્તવું પડે. લક્ષ્મી ત્યાં જ પાછી આવેદાદાશ્રી : તમારું ઘર પહેલાં શ્રીમંત હતુંને ? પ્રશ્નકર્તા : એવાં બધાં પૂર્વકર્મનાં પુણ્ય ! દાદાશ્રી : કેટલું બધું લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે. નહીં તો લક્ષ્મી આવે નહીંને ! જેને લઈ લેવાય એવી ઇચ્છા છે એની પાસે લક્ષ્મી આવે નહીં. આવે તો જતી રહે, ઊભી ના રહે. જેમ તેમ કરીને લઈ લેવું છે, એને ત્યાં લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે, છેતરાય, નોબિલિટી વાપરે, ત્યાં આવે. આમ જતી રહેલી લાગે ખરી, પણ આવીને પાછી ત્યાં ઊભી રહે. જો જો, દાન રહી ન જાયહમેશાં જે આટલો સેવાભાવી હોયને, તેનું મન તો પાવરફૂલ હોય. એ ભાઈ શું કહેતા, ‘મારે એમનાં દર્શન કરવા ત્યાં જવું છે ?’ એ એમનો કેટલો બધો સારો ભાવ ! તે ઠેઠ મુંબઈથી અમદાવાદ દર્શન કરી જતા’તા ! સેવાભાવી એટલે લોકોની પાસેથી લઈ આવે તે બીજાને ત્યાં આપી આવે. જુઓને કહેતા’તાને એક માણસ દર મહિને સાડા સોળ હજાર રૂપિયા આપે છે, આવા પણ હોયને પણ ! એ તો આવે ત્યારે જ અપાયને ! અને કાંઈ ના હોય ત્યારે મનમાં શું વિચારે, જાણો છો ? જ્યારે મારે આવે ત્યારે આપી દેવા છે. અને આવે ત્યારે પડીકું બાજુએ (પા.૪૧૯)મેલી દે ! મનુષ્ય મનનો સ્વભાવ થાય છે હમણાં. હમણાં દોઢ લાખ છે, બે લાખ પૂરા થાય પછી આપીશું. એ એમ ને એમ પેલું રહી જાય પછી ! એવા કામમાં તો આંખો મીંચીને આપી દીધેલું તે સોનું. રિવાજ, ભગવાન માટે જ ધર્માદાઆ મારવાડી લોકોને ત્યાં જાઉં છું, તે પૂછું, ધંધો કેમનો ચાલે છે ? ત્યારે કહે, ‘ધંધો તો સારો ચાલે છે.’ નફો-બફો ? ત્યારે કહે, ‘બે-ચાર લાખનો ખરો !’ ભગવાનને ત્યાં આપવા-કરવાનું ? ‘વીસ-પચ્ચીસ ટકા નાખી આવવાના ત્યાં, દર સાલ.’ એમને શું કહેવાનું ? ખેતરમાં વાવીએ તો દાણા નીકળેને બળ્યા ! વાવ્યા વગર દાણા શેના લેવા જઉં ? વાવીએ જ નહીં તો ? આ મારવાડી લોકોને ત્યાં આ જ રિવાજ કે ભગવાનના કામમાં નાખવા. જ્ઞાનદાન ભગવાનમાં, બીજી-ત્રીજી જગ્યાએ દાનમાં આપવા અને પેલા દાનમાં નહીં, એ હાઈસ્કૂલને, ફલાણાને, એમાં નહીં, આ એકલું જ ખાલી. ગજા પ્રમાણે ટેકો દેવોપ્રશ્નકર્તા : બે લાખ થાય ત્યારે વાપરીશું, એમ કહેવાવાળો માણસ એમ ને એમ કરતાં કરતાં જતો રહે તો ? દાદાશ્રી : એ વહી જાય ને રહી જાય પણ. રહી જાય ને કશું વળે નહીં. જીવનો સ્વભાવ જ આવો. પછી ના હોય ત્યારે કહેશે ‘મારી પાસે આવે ને તરત આપી દેવા છે, આવે કે તરત આપી દેવા છે. હવે આવે ત્યારે આ માયા મૂંઝવી નાખે. હમણાં છે તે કોઈ માણસે સાઠ હજાર રૂપિયા ના આપ્યા, ત્યારે કહેશે ચાલશે હવે હેંડો કંઈક છે, આપણા નસીબમાં નહોતા. પણે છૂટે પણ અહીં ના છૂટે, મનુષ્યનો સ્વભાવ એવો માયા મૂંઝવે એને. એ તો હિંમત કરે તો જ અપાય, તેથી અમે આવું કહીએને કે કંઈક કર. તે માયા મૂંઝવે નહીં પછી. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. તેય એક આંગળીનો ટેકો આપવાની જરૂર છે સહુ સહુના ગજા પ્રમાણે. માંદા માણસનેય આમ હાથ અડાડવામાં શું વાંધો છે ? (પા.૪૨૦)અમારીય ભાવના સદા રહીઅને મારી પાસે લક્ષ્મી હોત તો હું લક્ષ્મીયે આપત, પણ એવી કંઈ મારી પાસે લક્ષ્મી હજુ આવી નથી અને આવે તો હજેય આપવા તૈયાર છું. શું કંઈ મારે જોડે લઈ જવાનું છે બધું ? પણ કંઈક આપો બધાંને ! છતાં જગતને લક્ષ્મી આપ્યા કરતાં કેવી રીતે આ જગતમાં સુખી થવાય, જીવન કેવી રીતે ચલાવાય એવો માર્ગ દેખાડો. લક્ષ્મી તો દસ હજાર આપીએને તો બીજે દહાડે એ નોકરી બંધ કરી દે. એટલે ના અપાય લક્ષ્મી. એવી રીતે લક્ષ્મી આપવી એ ગુનો છે. માણસને આળસુ બનાવી દે. એટલે બાપે દીકરાને માટે લક્ષ્મી વધારે નહીં આપવાની. નહીં તો દીકરો દારૂડિયો થશે. માણસને નિરાંત વળી કે બસ, બીજે ઊંધે રસ્તે ચઢ્યો ! વાતને સમજવાની જરૂરએવું છે, રામચંદ્રજી છે તે વનવાસ ગયા જંગલમાં, એટલે ભરતને રાજગાદી સોંપી. તે સોંપતી વખતે એમ કહ્યું કે પ્રજા દુઃખી ના થાય તે તું જોજે. આ બિચારાને રાજ કરતાં નહીં આવડે. અને કોઈ સાચા સારા સલાહકાર મળ્યા નહીં, એટલે પછી એમણે શું કર્યું ? જે લોકોને બરોબર પાકે નહીંને, તો આ તિજોરીમાંથી અપાવ અપાવ કર્યું બધાંને, અને કહે છે, ‘અલ્યા, ભાઈ, દુઃખી ના થશો, વેરો ભરશો નહીં હમણે.’ આવું કહ્યું એટલે લોકોને વેરો ભરવાનો હોય તો કંઈ કામ કરેને ? વેરો કંઈ ભરવાનો નહીં એટલે બધું ઉજ્જડ થવા માંડ્યું. આખા અયોધ્યાની આજુબાજુના પ્રદેશ બધા ઉજ્જડ થવા માંડ્યા. પછી રામચંદ્રજી અયોધ્યા પાછા આવ્યા. તે પેસતાંની સાથે બધું આવું સૂકું જોયું, એટલે મનમાં એમ થયું કે આ શું થયું તે ? ભરતને રાજ કરતાં ના આવડ્યું ? પબ્લિક કેમ આવી થઈ ગઈ ? એટલે પછી આવીને ભરતરાજાને પૂછ્યું કે, ‘ભઈ, શું કર્યું તેં ? આ લોકો કંઈ સુખી નથી દેખાતા.’ ત્યારે એ કહે, ‘મેં બધી તિજોરી લૂંટાવી દીધી. એમાં કશું રહેવા નથી દીધું. મેં કંઈ આપવામાં બાકી નથી રાખ્યું.’ ત્યારે રામચંદ્રજી કહે, ‘બહુ મોટી ભૂલ કરી તેં.’ ત્યારે ભરત રાજા કહે, ‘શું ભૂલ કરી ?’ ત્યારે (પા.૪૨૧)રામચંદ્રજી કહે, ‘તું વેરો ના લે, એટલે આળસુ થાય લોકો, સૂઈ રહે નિરાંતે.’ પછી એમણે આ બધા લોકોને માથે બાર વર્ષનો વેરો નાખ્યો. ઢંઢેરો પીટાવ્યો કે ‘બારેય વર્ષનો એમના ખેતરોનો વેરો ભરી જાવ.’ લોકોની ઊંઘ ઉડાડી દીધી હડહડાટ અને પછી બીજી શર્ત મૂકી કે જેને કૂવા ખોદવા હોય તે તગાવી લઈ જાય. એ પાછી કરવાની, થોડા વ્યાજ સાથે અને વ્યાજ નહીં જેવું. એટલે લોકોએ દોડધામ કરવા માંડી, ‘અમારે કૂવો ખોદવો છે, અમારે કૂવો ખોદવો છે.’ કૂવા ખોદ્યા લોકોએ ! અને પછી પાણી ખેંચી ખેંચીને કાઢ્યાં ને બધો આખો દેશ લીલો કરી નાખ્યો. પણ તે કોસ ખેંચતી વખતે શું બોલતા હતા કે કોસ ગણવા માટે એ એમાં કાંકરા મૂકે. એક કોસ ખેંચાય એટલે એક કાંકરો મૂકે. પણ તે વખતે બોલે શું ? ‘આયારામ, ગયારામ’ કહે છે. તે હજુય કોસ ખેંચે તે ઘડીએ બોલે છે, ‘આયારામ’ એટલે વાતને સમજવાની છે. જીવનકળા શિખવાડવાની જરૂર છે અને તે પુસ્તકો મારફતેય શિખવાડાય ! દાનમાં રૂપિયા આપવા નહીં. એને મેઈન્ટેનન્સની હેલ્પ કરવી. ધંધે ચઢાવવો. હિંસક માણસને રૂપિયા આપશો તો તે હિંસા વધારે કરશે. લોભની પજવણીએક માણસે મુંબઈમાં મને આવીને કહ્યું, ‘દાદા મારી પાસે પચ્ચીસ લાખ રૂપિયા છે. અને તેય પચ્ચીસ લાખ મારે સારા કામમાં વાપરવા છે. છતાં મારામાં લોભ નામનો ગુણ એવો છે કે હું વાપરવા જઉં છું, ત્યાર હોરો સામો થઈને મને પજવ પજવ કર્યા કરે છે. તો મારે શું કરવું ? વાપરવાની ઇચ્છા મારે ચોક્કસ છે.’ મેં કહ્યું, ‘તમે મારી પાસે આવો, હું તમને દેખાડીશ કે ઓવરડ્રાફ્ટ કેવી રીતે કઢાવવો. અને તમારો લોભ જોર નહીં કરે. મારી હાજરીમાં લોભથી બોલાય નહીં. અમારી શરમ રાખે એ તો. અમારી શરમ રાખે પછીયે સહી કરી આપે. નહીં તો લોભ તો રાત્રે બહુ તો છોડે નહીં, પજવે, માથું હઉં તોડી નાખે. પણ અમારી હાજરીમાં સહી કરી આપે. મેં કહ્યું, ‘પચ્ચીસ લાખ તમારે જ્યારે વાપરવા હોય ત્યારે કહેજો. લોકોને પૈસા ઘણાય વાપરવા છે, પણ કેવી રીતે વાપરવા તે ખબર નથી. ક્યાં વાપરવા તે ખબર નથી. (પા.૪૨૨)એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે. અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશેને ! અને તેય છોકરો શું કહેશે, ‘જરા સસ્તામાંનાં, પાણી વગરનાં આપજોને !’ મોટા લોભિયા હોય તો ચેતતા રહેજો હવે. છોકરાઓને પૈસા વધારે નહીં આપવા. છોકરાઓને કંઈક ધંધો કરી આપવો. અને રીતસર એનું રહેવાનું આપવું. બાકી બીજા પૈસા જો વધારે આપશો તો દારૂડિયા પેસી જશે. તમે ગયા કે તરત ત્યાં દારૂડિયા પેસી જશે. માટે સારે રસ્તે પૈસા વાપરજો. લોકોના સુખને માટે વાપરજો. તમારા પૈસા જો વધારાના હોય તો લોકોના સુખને માટે વાપરશો એટલા જ તમારા બાકી, ગટરમાં... ! આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ. વંટોળિયાનો વ્યવહારએક માણસને ત્યાં બંગલામાં બેઠા હતા તે વંટોળિયો આવ્યો. તે બારણાં ખડાખડ ખડાખડ થયાં. તે મને કહે, ‘આ વંટોળિયો આવ્યો. બારણાં બધાં બંધ કરી દઉં ?’ મેં કહ્યું, ‘બારણાં બધાં બંધ ના કરીશ. એક બારણું, અંદર પ્રવેશ કરવાનું બારણું ખુલ્લું રાખ. અને નીકળવાનાં બારણાં બંધ કરી દે. એટલે મહીં હવા પેસે કેટલી ? ભરેલું ખાલી થાય તો હવા પેસેને ? નહીં તો ગમે તેવો વંટોળિયો પેસે નહીં. પછી એને અનુભવ કરાવ્યો. ત્યારે મને કહે છે, ‘હવે નથી પેસતું.’ તે આ વંટોળિયાનું આવું છે. લક્ષ્મીને જો આંતરશો તો પછી નહીં આવે. એટલું ભરેલું ને ભરેલું રહેશે. અને આ બાજુથી જો જવા દેશો તો બીજી આવ્યા કરશે. નહીં તો આંતરેલી રાખશો તો એટલી ને એટલી રહેશે. લક્ષ્મીનુંય કામ એવું છે. હવે કયા રસ્તે જવા દેવું એ તમારી મરજી ઉપર આધાર રાખે છે, કે બૈરાં-છોકરાંના મોજશોખ ખાતર જવા દેવું કે કીર્તિ માટે જવા દેવું કે જ્ઞાનદાન માટે જવા દેવું કે અન્નદાન માટે જવા દેવું ? શેને માટે જવા દેવું એ તમારા પર છે. પણ જવા દેશો તો બીજું આવશે. જવા ના દે તેનું શું થાય ? જવા દે તો બીજું ના આવે ? હા, આવે. (પા.૪૨૩)દાન, પણ ઉપયોગપૂર્વકપૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે, ને ફરી ફરી અપાય. ઉપયોગ એ જાગૃતિ છે. આપણે શુભ કરીએ, દાન આપીએ, તે દાન કેવું. જાગૃતિપૂર્વકનું કે લોકોનું કલ્યાણ થાય. કીર્તિ, નામ આપણને એ પ્રાપ્ત ના થાય. એટલા માટે ઢાંક્યું આપીએ. એ જાગૃતિપૂર્વક કહેવાયને ! એ એનું નામ ઉપયોગ કહેવાય. પેલું તો નામ ના છપાયું હોય તો ફરી આપે નહીં. પાંચમો ભાગ પારકા માટેપ્રશ્નકર્તા : આવતા જન્મના પુણ્યના ઉપાર્જન માટે આ જન્મમાં શું કરવું ? દાદાશ્રી : આ જન્મમાં જે પૈસા આવે તેમાં પાંચમો ભાગ ભગવાનને ત્યાં મંદિરમાં નાખી આવવો. પાંચમો ભાગ લોકોના સુખને માટે વાપરવો. એટલે એટલું તો ત્યાં આગળ ઓવરડ્રાફ્ટ પહોંચ્યો ! આ ગયા અવતારના ઓવરડ્રાફ્ટ તો ભોગવો છો. આ જન્મનું પુણ્ય છે તે આગળ પછી આવે. અત્યારની કમાણી આગળ ચાલશે. સ્વાર્થી, પરાર્થી, પરમાર્થીઅહીં વાતો શાની ચાલે છે ? અહીં પરમાર્થની વાતો ચાલે છે. પરમાર્થ હિન્દુસ્તાનમાં હોય નહીં. કો’ક ફેરો એકાદ પરમાર્થી હોય ! પરમાર્થી પુરુષ હોય નહીં. બધાય દુકાનદારો પરમાર્થી જે કહે છેને ? ત્યારે કહે, પરમાર્થી નથી તો સ્વાર્થી છે ? ત્યારે કહે ના, સ્વાર્થી નથી. પરાર્થી છે ! સ્વાર્થી તો નથી ! કારણ કે બૈરાં-છોકરાં છોડ્યાં ને બાવા થયા. એનો શો અર્થ ? પણ પરાર્થી છે એ. પરમાર્થી નહીં. પરમાર્થી તો મોક્ષ તરફ લઈ જાય, એ પરમાર્થી પુરુષ ! પરમ અર્થને જે સાધે તે ! પરમ અર્થ ! તો જ એ મોક્ષ ! અને પરમ અર્થની વાણી. પરમાર્થ વાણીયે જુદી હોય, પરમ અર્થનું વર્તન જુદું હોય, એ વાણી, વર્તન ને વિનય મનોહર હોય. (પા.૪૨૪)આપણા મનનું હરણ કરી લે. અને આ લોકો દુકાનો કાઢીને બેસે છે. અને અમે પરમાર્થી, પરમાર્થી કહીએ છીએ. પણ તે પરમાર્થી ! ખરા સ્વાર્થી તો ના કહેવાય પણ પરાર્થી કહેવાય. એના ચાર શિષ્યો હોયને તે શિષ્યમાં જ પણ એ પર છે ને પરાર્થી ! તેમાં તારું શું ? નહીં તો છોકરાંયે પર છે ને પરાર્થી જીવન જીવે છે. એ પરમાર્થી જીવન નથી. પરાર્થી છે. જેટલા સ્વાર્થી આ દુનિયામાં છે એ બધાંય પરાર્થે મરી ગયેલા. પારકા અર્થે બધું જપ્તીમાં જતું રહેલું તો આમ પરમાર્થ કરતા હોય તો કેવું ડાહ્યું સારું થઈ જાય ! પરમાર્થે લક્ષ્મી વાપરે તો કામની. આ તો પરાર્થે બધું જાય છે. શું થાય ? આવો છે મોક્ષમાર્ગવીતરાગોએ મોક્ષનો માર્ગ શેને કહ્યો ? જે પાસે છે એને ભેલાડી દેવું. અને તે સારાં કામ માટે, મોક્ષને માટે, અગર મોક્ષાર્થીઓ, જિજ્ઞાસુઓ માટે, અગર જ્ઞાનદાન માટે ભેલાડી દેવું. એ મોક્ષનો જ માર્ગ ? આ ભાઈ ભેલાડી દેતા હતા તે પછી મને પૂછતા હતા કે શું મોક્ષનો માર્ગ ? મેં કહ્યું, ‘આ જ મોક્ષનો માર્ગ. આથી બીજો મોક્ષનો માર્ગ કેવો હોય તે ? પોતાની પાસે હોય એ ભેલાડી દેવું. એનું નામ મોક્ષનો માર્ગ. મોક્ષને માટે ! છેવટે તો પૂળો મૂકવાનો છેને ? છેવટે તો પૂળો મૂકીએ, દરેકને મૂક્યા વગર રહેવું પડે છે ? તમને કેવું લાગે છે ? પ્રશ્નકર્તા : મૂકવો જ પડેને એમાં. દાદાશ્રી : હા, છેવટે તો પૂળો મૂકવો જ પડે. જો ને કાકા કેટલા બધા રૂપિયા મૂકીને ગયા છે ! તું ભેલાડવાનું શીખ્યો છે ? તે શું નિયમ કર્યો છે ? પ્રશ્નકર્તા : ભેલાડવાનો જ. દાદાશ્રી : તું જેટલું કમાઈશ એટલું બધું ભેલાડી દેવાનો ? પ્રશ્નકર્તા : છેવટે તો એવું જ થશે. હમણાંથી પણ પ્રયત્ન એવો (પા.૪૨૫)ચાલુ જ છે. દાદાશ્રી : એમ નહીં, આપણી પાસે પાંચ પૈસા હોય તો ચાર પૈસા પણ ભેલાડી દેવા. એ તો લાખ્ખોધિપતિ ગમે તે કરે, કરોડાધિપતિ હોય તે ગમ્મે તે કરે ! આપણે એમની જોડે દોડીએ તો માંદા પડીએ. એવું નહીં કરવાનું. પણ ભાવના એવી રાખવી કે ભેલાડી દેવું છે. પ્રશ્નકર્તા : ભેલાડવા માટે જિગર જોઈએ ? દાદાશ્રી : હા, જિગર જોઈએ. મોક્ષમાં જવું હોય તો જિગર એની મેળે આવે. જો ને કેવી જિગર છે ! આ કાળમાં જ્ઞાન મળ્યાથી મોક્ષ થાય ખરો, પણ જોડે જોડે આ ભાવના હોયને તો બહુ હેલ્પફુલ થાય. સ્પીડી થાય. અડચણ વગર થાય. મોક્ષ તો જ્ઞાનનું ફળ જ છે, પણ જોડે જોડે આ એક ભાવના જોઈએ, ભેલાડવાની ! બાકી ભેળું કરવાની તો અનાદિ કાળથી ટેવ પડેલી હતી ! આ કીડીઓ કેટલું ભેળું કરતી હશે ? આ કીડીઓ ચાર વાગ્યાની ઊઠે છે, આપણે ચાર વાગે ચા પીતા હોઈએ ને ત્યાં આગળ ખાંડ-ખાંડ પડેલી હોય તે લઈને ચાલી જાય. એ સવારની આટલી બધી વહેલી ઊઠે છે ને રાત સુધી જાગે છે ! અને પછી આટલુંક ભેગું કરે છે. પછી એક ચટકો મારે આનો, ને પછી મૂકી દેવાનું, પેલા સ્ટોરમાં. તે આટલું ભેળું કરે છે, પછી ઉંદરડો પેસીને ખઈ જાય છે ! શું ? ત્યારે ભેળું કર્યાનો આ જ ફાયદોને ? શું ફાયદો ? ઉંદરડા પેસીને ખઈ જાયને ! ઉંદરડા તો ખોળતા જ હોય કે ક્યાં આગળ કોઈએ ભેગું કર્યું છે ! ભાવનાથી છે પુષ્ટિપ્રશ્નકર્તા : કોઈપણ વસ્તુ પૂરણની ગલન થઈ જવાની નક્કી જ છે, નિર્વિવાદ વાત છે. દાદાશ્રી : પૂરણનું ગલન થઈ જવાનું નક્કી જ છે. તો ગલન ક્યાં થવા દેવું એ આપણે સમજવાનું છે. પૂરણ થઈ એના ટાઈમે ગલન થઈ જવાનું. પૂરણ થવું એટલે સંયોગ કહેવાય. અને સંયોગ વિયોગી સ્વભાવનો જ હોય. તમે અટકાવો તોય વિયોગ થયા વગર રહે જ નહીં. માટે કંઈક (પા.૪૨૬)ભાવનાની તેને પુષ્ટિ આપવી જોઈએ. ભાવના દેવી જોઈએ. પૂંઠ દેવી જોઈએ. આ સંયોગ બધા વિયોગી સ્વભાવવાળા ન હોય ? એનો સ્વભાવ જ વિયોગી છે. આપણે વિયોગ કરાવવો ના પડે. એવું શીખવાનું અત્યારથી, નાની ઉંમરમાંથી ભેળું કરવાનું સંસારીઓ બધાંને ગમે. તે બંધન છે. ભેળું કરવાની ભાવના એ બંધનનો માર્ગ છે. અને ભેલાડવાની ભાવના એ મોક્ષનો માર્ગ છે ! જ્ઞાનીને પૂછી પૂછીને...પ્રશ્નકર્તા : આ પાંચ વર્ષથી ધાર્મિક પ્રવૃત્તિની શરૂઆત કરી છે. એના હિસાબે જ આ દાદા ભેગા થયા. દાદાશ્રી : હા, પણ એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું. પ્રશ્નકર્તા : એવો કોઈ રસ્તો છે કે સાથે લઈ જવાય એવો ? દાદાશ્રી : તમારે કેટલા દીકરા છે ? પ્રશ્નકર્તા : ત્રણ. બે દીકરા ને એક દીકરી. દાદાશ્રી : માથાકૂટ કોણે કરી ? ભાઈએ કરી. ભોગવશે કોણ ? આ બધાં. એ લોકો સાથે લઈને આવ્યા હોય ! પ્રશ્નકર્તા : હું મૂકી જઈશ તો છોકરાં વાપરશે. દાદાશ્રી : છોકરાઓય સોંપીને જશે કે આ સોંપ્યું. કારણ કે એમનેય ક્યાં જોડે લઈ જવાય છે ? પ્રશ્નકર્તા : પણ એવો કોઈ રસ્તો છે સાથે લઈ જવાય એવો ? દાદાશ્રી : આ છોકરાઓ લઈને આવ્યા’તા ? આ છોકરાંઓ ક્યાંથી લઈને આવ્યા’તા ? એમણે મહેનત કરી ? માથાકૂટ કરી એમણે ? અને તૈયાર થઈને આવ્યું ? જોડે લાવેલા જ ને ! (પા.૪૨૭)પ્રશ્નકર્તા : આ ભાઈ અહીંથી જોડે જોડે લઈ જઈ શકશે ખરા ? દાદાશ્રી : હવે શું લઈ જાય ? જોડે હતું તે અહીં વાપરી ખાધું. હવે આ કંઈક મોક્ષનું મારી પાસેથી આવીને મળે તો દહાડો વળે ! હજુ જિંદગી છે, હજુ લાઈફ ટર્ન કરે, જાગ્યા ત્યાંથી સવાર ! ત્યાં લઈ જવામાં કઈ વસ્તુ આવે છે ? અહીં જે તમે વાપર્યું તે બધું ગટરમાં ગયું. તમારા મોજશોખ માટે, તમારા રહેવા માટે જે બધું કરો, એ બધું ગટરમાં ગયું. ફક્ત પારકા માટે જે કંઈ કર્યું, એટલું જ તમારો ઓવરડ્રાફ્ટ છે. પ્રશ્નકર્તા : એટલું ક્રેડિટ મળે. દાદાશ્રી : એટલો ઓવરડ્રાફ્ટ છે સમજ પડીને ? એટલે પારકા માટે કરજો. પારકાના રસ્તા જ્ઞાનીઓને પૂછી પૂછીને કરજો. જેવો ભાવ, તેવું ફળપ્રશ્નકર્તા : આપણે કંઈક સારાં કામો કર્યાં હોય, તે આત્મા બીજી જગ્યાએ જાય, બીજા ખોળિયામાં જ્યારે પ્રવેશ કરે, ત્યારે એની અસરો એના નવા ખોખામાં રહેલી હોય ? દાદાશ્રી : હા, હા. આ રીતે રહે. તમે જે જે સારાં કામ કર્યા, લોકોને ઓબ્લાઈઝ કર્યા, લોકોને હેલ્પ કરી, મહારાજોની સેવાઓ કરી, ધર્માદા કર્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, બધું મન-વચન-કાયાની એકતા હોય તો આવતા જન્મમાં જાય. મનમાં જેવું હોય, એવું જ વાણીમાં બોલો ને એવું વર્તન કરો ને પછી એ છે તે મહારાજની સેવા કરો. તો એનું ફળ આવતા જન્મમાં મળે. અત્યારે કેટલા કરતા હશે ? પ્રશ્નકર્તા : બહુ નહીં. દાદાશ્રી : તેથી આ ક્રમિકમાર્ગ બંધ થયો છે અત્યારે. મહારાજની સેવા કરે, પણ મનમાં ક્યાંય હોય. પ્રશ્નકર્તા : મારું ચિત્ત કાયમ ફર્યા જ કરતું હોય. (પા.૪૨૮)દાદાશ્રી : એ તો આપણું અક્રમ છે એટલે ચલાવી લીધું મેં. પેલામાં નથી ચાલે એવું. પેલામાં તો મન-વચન-કાયની એકતા હોય ત્યાં સુધી ક્રમિકમાર્ગ ચાલુ ! મનમાં હોય એવું વાણીમાં બોલે ને એવું વર્તનમાં રાખવું પડે. ઘણાને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય અને વાણીમાં બોલે, મારે આપવું છે અને વર્તનમાંય રાખે, આપે. પણ મનમાં ના આપવું હોય એટલે ફળ ના થાય. પ્રશ્નકર્તા : દાદા, એ કેમ થાય એવું ? દાદાશ્રી : એક માણસ મનમાં આપે છે, એની પાસે સાધન નથી એટલું અને વાણીથી બોલે છે કે મારે આપવું છે, પણ અપાતું નથી, એનું ફળ આવતા ભવમાં મળે, કારણ કે એ આપ્યા બરાબર છે. ભગવાને સ્વીકાર્યું. અરધો લાભ તો થઈ ગયો. દેરાસરમાં જઈને એક માણસે એક જ રૂપિયો મૂક્યો અને બીજા શેઠિયાએ એક હજારની નોટો મહીં ધર્માદામાં નાખી, એ જોઈને આપણા મનમાં થયું કે અરે, મારી પાસે હોત તો હું આપત. એ તમારું ત્યાં આગળ જમે થાત. નથી માટે તમારાથી નથી અપાતું. અહીં તો આપ્યાની કિંમત નથી, ભાવની કિંમત છે. વીતરાગોનું સાયન્સ છે. અને આપનાર હોય તેનું ક્યારે કેટલાય ગણું થઈ જાય. પણ તે કેવું ? મનથી આપવું છે, વાણીથી આપવું છે, વર્તનથી આપવું છે, તો એનું ફળ તો આ દુનિયામાં શું ના કહેવાય એ પૂછો ! અત્યારે તો બધાં કહેશે, ફલાણા ભઈને લીધે મારે આપવું પડ્યું, નહીં તો હું ના આપત. ફલાણા સાહેબે દબાણ કર્યું એટલે મારે તો આપવા પડ્યા. એટલે ત્યાં આગળ જમે પણ એવું જ થાય, હં. એ તો આપણે મનથી રાજીખુશીથી આપેલું કામનું. એવું કરે ખરા લોકો ? કો’કના દબાણથી આપે ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : અરે, કેટલાક તો રોફ રાખવા હારુ આપે. નામ, પોતાની (પા.૪૨૯)આબરૂ વધારવા માટે. મહીં મનમાં એમ હોય, બળ્યું આપવા જેવું નથી. પણ આપણું નામ ખોટું દેખાશે ત્યારે એવું ફળ મળે. જેવું આ બધું ચીતરે છે, એવું ફળ મળે. અને એક માણસ પાસે ના હોય અને ‘મારી પાસે હોત તો હું આપત’ એમ કહે તો કેવું ફળ મળે ? દાન, સમજણ સહિતએક જણને મનમાં જ્ઞાન થયું. શું જ્ઞાન થયું કે આ લોકો ટાઢે મરી જતા હશે, અહીં ઘરમાં ટાઢમાં રહેવાતું નથી. અલ્યા, હિમ પડવાનું થયું છે ને આ ફૂટપાથવાળાનું શું થશે ? એવું એને જ્ઞાન થયું, આ એક પ્રકારનું જ્ઞાન જ કહેવાયને ! જ્ઞાન થયું ને એની પાસે સંજોગ સીધા હતા. બેન્કમાં નાણું હતું, તે સો-સવા સો ધાબળા લઈ આવ્યો, હલકી ક્વૉલિટીના ! અને મળસકે ચાર વાગે જઈને, બીજે દહાડે ઓઢાડ્યા બધાને, સૂતા હોય ત્યાં જઈને ઓઢાડ્યા. પછી પાંચ-સાત દહાડા પછી ત્યાં પાછો ગયોને, ત્યારે ધાબળો-બાબળો કંઈ દેખાતો ન હતો. બધા નવેનવા વેચીને પૈસા લઈ લીધા એ લોકોએ. તે હું કહું છું કે અલ્યા, ના અપાય આવું. આવું અપાતું હશે ? એમને તો શુક્કરવારીમાંથી જૂના ધાબળા આવે તે લઈને આપીએ. તે એને કોઈ બાપેય વેચાતો લે નહીં, એની પાસેથી. આપણે એને માટે સિત્તેર રૂપિયાનું બજેટ કાઢ્યું હોય, એ માણસને માટે તો સિત્તેરનો એક ધાબળો લાવવો એના કરતાં જૂના ત્રણ મળતા હોય તો ત્રણ આપવા. ત્રણ ઓઢીને સૂઈ જજે, કોઈ બાપેય લેનારો ના મળે. એટલે આ કાળમાં દાન આપવાનું તે બહુ વિચાર કરીને આપજો. પૈસો મૂળ સ્વભાવથી જ ખોટો છે. દાન આપવામાંય બહુ વિચાર કરશો ત્યારે દાન અપાશે, નહીં તો દાનેય નહીં આપે. અને પહેલાં સાચો રૂપિયો હતોને તે જ્યાં આપો ત્યાં દાન સાચું જ દાન થતું. અત્યારે રોકડો રૂપિયો અપાય નહીં, નિરાંતે કોઈ જગ્યાએથી ખાવાનું લઈ અને વહેંચી દેવું. મીઠાઈ લઈ આવ્યા તો મીઠાઈ વહેંચી (પા.૪૩૦)દેવી. મીઠાઈનું પડીકું આપીએ તો પેલાને કહેશે, અડધી કિંમતે આપી દે. હવે આ દુનિયાને શું કરીએ ? આપણે નિરાંતે ચેવડો છે, મમરા છે, બધું છે. અને ભજીયાં લઈ અને ભાંગીને આપીએ. લે બા ! વાંધો શો છે ? અને આ દહીં લેતો જા. શા હારુ આમ ભાંગ્યાં કહેશે. એને વહેમ ન પડે એટલા હારુ. દહીં લઈ જા એટલે દહીંવડા થઈ જાય તારે. અલ્યા, પણ શું કરે ત્યારે આ તો કંઈક હોવું જોઈએને ! આ તો પહોંચી વળાય એવું નથી. અને એ માંગવા આવશે તોય આપજે બા. પણ રોકડા ના આપીશ. નહીં તો દુરુપયોગ થાય છે આ બધો. આપણા દેશમાં જ આ. આ ઈન્ડિયન પઝલને કોઈ સોલ્વ કરી શકે નહીં, આખા વર્લ્ડમાં ! આ શી રીતે, આ શું છે, એનું સોલ્વ કરવા મોકલીએ કે ભઈ અમારે આ શું છે ? આ ધાબળા દાનમાં આપ્યા તે ક્યાં ગયા ? એની શોધખોળ કરો. ત્યારે કહે કે સી. આઈ. ડી. લાવો. અલ્યા, ન હોય આ સી. આઈ. ડી.નું કામ. અમે તો આ વગર સી. આઈ. ડી. એ પકડી પાડીશું. આ પઝલ ઈન્ડિયન પઝલ છે. તમને સોલ્વ નહીં થાય. તમારા દેશમાં સી. આઈ. ડી. થી પકડી લાવો. અમારા દેશવાળા શું કરે એ અમે જાણીએ બા ! બીજે દહાડે જા વેપારીને ત્યાં. એટલે પૈસાની બરકત ક્યારે આવશે ? કંઈક નિયમ હોવો જોઈએ કે નીતિ હોવી જોઈએ. સાધારણ તો હોયને ! કાળ વિચિત્ર છે જરા. તે સાધારણ નીતિ તો હોવી જોઈએને ! હપૂચું એમ કંઈ ચાલે ? બધું વેચી ખાય ત્યારે છોડીઓ હઉ વેચી ખાય, લક્ષ્મીની બાબતમાં છોડીઓ હઉ વેચેલી. ત્યાં સુધી આવી ગયા છે અંતે ! અલ્યા, ના થાય. ખાતરીદાર કહેનારઅને પાંચ હજાર ડોલર કોઈ તમારા હાથમાંથી લઈ ખૂંચાવી જાય તો શું કરો ? પ્રશ્નકર્તા : એવા ઘણા ખૂંચાઈ ગયા છે. બધી મિલકતો પણ ચાલી ગઈ છે. (પા.૪૩૧)દાદાશ્રી : તો શું કરો ? મનમાં કશું થતું નથી ? પ્રશ્નકર્તા : કાંઈ નહીં. દાદાશ્રી : એટલું સારું, ત્યારે તો ડાહ્યા છો. ખૂંચાઈ જવા હારુ જ આવે છે. અહીં નહીં પેસે તો અહીં પેસી જશે. માટે સારી જગ્યાએ પેસાડી દેજો, નહીં તો બીજી જગ્યાએ તો પેસી જવાનાં જ છે. નાણાંનો સ્વભાવ જ એવો એટલે સારે રસ્તે નહીં જાય તો અવળે રસ્તે જશે. સારે રસ્તે થોડાં ગયાં ને અવળે રસ્તે વધારે ગયાં. પ્રશ્નકર્તા : સારો રસ્તો બતાવો. ખબર શી રીતે પડે કે રસ્તો સારો કે ખરાબ ? દાદાશ્રી : સારો રસ્તો તો આમ અમે એક પૈસો લેતા નથી. હું મારા ઘરનાં કપડાં પહેરું છું. તમને સમજ પડીને ? આ દેહનો હું માલિક નથી ! છવ્વીસ વર્ષથી આ દેહનો હું માલિક નથી. આ વાણીનો હું માલિક નથી, હવે તમને જ્યારે કંઈક ખાતરી બેસે, મારા પર થોડો વિશ્વાસ બેસે, એટલે હું તમને કહું કે ભઈ, અમુક જગ્યાએ તમે પૈસો નાખો તો સારા રસ્તે વપરાશે. તમને મારા પર થોડી ખાતરી બેસે એટલે હું તમને કહું તો વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ જ સારો રસ્તો. બીજો કયો ? ખાતરીદાર કહેનાર હોવો જોઈએ. ખાતરીવાળો ! જેનું કમિશન ના હોય સહેજેય, સમજ પડીને ! એક પાઈ પણ એમાં કમિશન ના હોય ત્યારે એ ખાતરીવાળા કહેવાય ! શું કહ્યું ? એવું અમને દેખાડનાર મળ્યા નહીં. અમને જેમાં ને તેમાં કમિશન... (જાય એવું દેખાડનારા મળ્યા !) પ્રશ્નકર્તા : દાદા, અમને રસ્તો બતાવતા રહેજો. દાદાશ્રી : જ્યાં કમિશન છે ત્યાં ખોટે રસ્તે નાણું જાય છે, ત્યાં ચોક્કસ, કંઈ પણ કમિશન છે ત્યાં ખોટે રસ્તે ! હજુ તો આ સંઘના ચાર આના વપરાયા નથી, કોઈ કારકુન કે એને ખાતે ! બધા પોતાના ઘરના પૈસાથી કામ કરી લે છે એવો આ સંઘ, પવિત્ર સંઘ ! તમને સમજણ (પા.૪૩૨)પડીને ! એટલે સાચો રસ્તો આ છે. જ્યારે નાખવા હોય તો નાખજો, અને તે હોય તો, ના હોય તો નાખશો નહીં. હવે આ ભઈ કહે કે, ‘હું ફરી નાખું દાદા ?’ તો હું કહું ના, બા. તું તારો ધંધો કર્યા કર. હવે એક ફેરો નાખ્યા એણે ! અહીં ફરી નાખવાની જરૂર નહીં ! હોય તો ગજા પ્રમાણે નાખો ! વજન દસ રતલ ઊંચકાતું હોય, તો આઠ રતલ ઊંચકો, અઢાર રતલ ના ઊંચકો. દુઃખી થવા માટે નથી કરવાનું ! પણ સરપ્લસ નાણું અવળે રસ્તે ના જાય, એટલા માટે આ રસ્તો દેખાડીએ. આ તો લોભમાં ને લોભમાં ચિત્ત રહ્યા કરે, ભમ્યા કરે ! એટલે જ્ઞાની પુરુષ દેખાડશે કે અમુક જગ્યાએ નાખજો. સરપ્લસનું જ દાનપ્રશ્નકર્તા : સરપ્લસ કોને કહેવાય ? દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. સમજ પડીને ? હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની, એવું આપણને લાગે, તો કામ કરવું, નહીં તો કરવું નહીં. જો કે આ કામ કરશો તો તમારે ઉપાધિ નહીં જોવી પડે. એ તો જોવી ના પડે. આ કામ તો એની મેળે જ પૂરાઈ જાય છે. આ તો ભગવાનનું કામ છે. જે જે કરે છે એમનું એમ ને એમ સરભર થઈ જાય છે. પણ છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ. મારે શા હારુ તમને કહેવું જોઈએ કે આંધળું-બહેરું કરજો ? આંધળિયાં કરજો એવું હું શા માટે કરવા કહું ? હું તો તમારા હિતને માટે ચેતવું છું કે ગયા અવતારમાં તમે આપ્યું હતું તેથી આ ભાઈને મળે છે અત્યારે. અને અત્યારે આપશે તો ફરી મળશે. આ તો તમારો જ ઓવરડ્રાફ્ટ છે. મારે કશું લેવા-દેવાય નથી. ‘હું તો તમને સારી જગ્યાએ નખાવડાવું છું, એટલું જ છે.’ ગયા અવતારે આપ્યું હતું તે આ અવતારમાં લઈએ છીએ. કંઈ બધામાં અક્કલ નથી ? ત્યારે કહે, ‘અક્કલથી નથી આપ્યા. ઉપરથી જ છે ! તમે બેન્કમાં ઓવરડ્રાફ્ટ ક્રેડિટ કર્યો હશે તે તમારા હાથમાં ચેક આવશે. એટલે બુદ્ધિ સારી હોય ને તો પાછું જોઈન્ટ થઈ જાય બધું. (પા.૪૩૩)બીજું કંઈ પૂછવાનું હોય તો પૂછજો બધું. તમારા બધા ખુલાસા થાય ! અહીં કોઈને આપવા હોય તો શ્રી સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે તેમાં આપે. સમજ પડીને ? તે પોતાને સાધન હોય તો, નહીં તો નહીં. અનન્ય ભક્તિ, ત્યાં અપાયઆપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. અહીંયા તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલું બધું તમારું આવી ગયું. બધું બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોયને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાનાં બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એય પુણ્ય ખરું પણ પાપાનુબંધી પુણ્ય. અનુબંધેય પાપ કરાવડાવે અને આ પુણ્યાનુબંધી પુણ્ય. સીમંધર સ્વામીઆપણે અહીં આગળ તમે સીમંધર સ્વામીનું નામ તો સાંભળેલુંને ? પેલો ફોટો રહ્યો ઉપર ! એ હાલ તીર્થંકર છે, મહાવિદેહ ક્ષેત્રમાં ! મહાવિદેહ ક્ષેત્રમાં હાલ તીર્થંકર છે. એમની હાજરી છે આજે. સીમંધર સ્વામીની ઉંમર કેટલી ૬૦-૭૦ વર્ષની હશે ? પોણા બે લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર, સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજુ એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું. અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! આખા વર્લ્ડનું કલ્યાણ થશે નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહીં, ખાલી પુણ્ય બંધાય. એ બે એકના એક જપ્રશ્નકર્તા : અત્યારે આ બધા જે કીર્તન રે છે, ‘દાદા ભગવાનના (પા.૪૩૪)અસીમ જય જયકાર હો’ એમાં દાદા ભગવાનની ઓળખાણ કેવી રીતે આપો છો ? દાદાશ્રી : આ દાદા ભગવાન ન હોય. આ દેખાય છે તે દાદા ભગવાન ન હોય. જે સાચા દાદા ભગવાન, જે આખા વર્લ્ડનો માલિક છે, આખા વર્લ્ડનો ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. આ દાદા ભગવાન નહીં, મહીં પ્રગટ થયો છે, ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે, હું હઉ એમ ભગવાનને નમસ્કાર કરું છું. અને ધીસ ઈઝ ધી કૅશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. માંદો માણસ દવાખાનામાં બોલે તો તરત ફળ મળે. પ્રશ્નકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું ? દાદાશ્રી : હું હઉ બોલતો હતોને ! હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. મારે છે તે ચાર ડિગ્રી ખૂટે છે ને ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારુ મેં પહેલાં બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમનેય ખૂટે છે. તમારે ખૂટતી નથી ? પ્રશ્નકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી એમનામાં સંબંધ શો છે આમ ? દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે. પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ કે હજુ દેહ સાથે હું છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીનાં દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્ત ના થાય, એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાનાં દર્શનથી મળે. જોકે મુક્ત તો હુંય થયેલો છું. પણ એ સંપૂર્ણ મુક્ત છે. એ આવું અમારી જેમ લોકોને એમ ના કહે કે આમ આવજો ને તેમ આવજો. હું તમને જ્ઞાન આપીશ. એ બધી ખટપટો ના કરે. તમને સમજ પડીને ? આ છે જીવતા-જાગતા દેવલક્ષ્મીના સદુપયોગનો સાચામાં સાચો રસ્તો કયો અત્યારે ? ત્યારે (પા.૪૩૫)કહે, ‘બહાર દાન આપવું તે ?’ કૉલેજમાં પૈસા આપવા તે ? ત્યારે કહે ના, આપણા આ મહાત્માઓને ચા-પાણી, નાસ્તા કરાવો. એમને સંતોષ આપવો એ સારામાં સારો રસ્તો. આવા મહાત્મા વર્લ્ડમાં મળશે નહીં. ત્યાં સત્યુગ જ દેખાય છે અને બધા આવ્યા હોય તો તમારું કેમ ભલું થાય એ જ આખો દહાડો ભાવના. નાણું ના હોય ને તો પેલાને ત્યાં જમો કરો, રહો, એ બધું આપણું જ છે. સામસામી પરસ્પર છે. જેની પાસે સરપ્લસ છે તે વાપરો. અને વધારે હોય તો મનુષ્યમાત્રને સુખી કરો ને સારું છે અને એથી આગળ જીવમાત્રના સુખને માટે વાપરો. બાકી સ્કૂલોમાં આપો. કૉલેજોમાં આપો, તેની નામના મળશે પણ આ સાચું છે. આ મહાત્માઓ તદ્ન સાચા છે એની ગેરન્ટી આપું છું. ભલે ગમે તેવા હશે. પૈસેટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ, ભાવના એ બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ. આ મહાત્માઓ તો જીવતા-જાગતા દેવ છે. આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતા નથી. ત્યાં આત્મા પ્રગટ થયેલો છે. ત્યાં ભગવાન છે. આવી સમજણ પાડવીય પડેએક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, ‘તારી પાસે પૈસા છે ?’ ત્યારે કહે છે, ‘હા’. ત્યારે મેં કહ્યું આવી રીતે આપજે. હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ પાડો. વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા હું જઈશ. તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા. ને તેમાં વાતચીતો થાય ! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં (પા.૪૩૬)આપવા, કેવી રીતે આપવા, કેવી રીતે આપવા ‘બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો, પછી હમણે ત્યારે કહે, ‘બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે.’ ત્યારે મેં કહ્યું કે વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો. તરત જ એ કહે, ‘તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.’ પછી કહે છે, ‘આ મહિનામાં તરત જ છપાવી દઈશ.’ પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય ? ત્યારે કહ્યું કે, ‘વીસ હજાર થાય.’ તરત જ કહે છે કે, ‘આટલી ચોપડી મારે છપાવી દેવાની !’ મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને. એટલે આવા ભલા માણસ હોય ને જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને ! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં ! કારણ કે આ જ્ઞાનની એ ચોપડીઓ વાંચે એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ ! હરીફાઈ ના હોય અહીંઅને હરીફમાં એ બોલવાની જરૂર નહીં. આ હરીફનું લાઈન્સવાળું નથી કે અહીં બોલી બોલ્યા કે આ આમને ઘી આટલું બોલ્યા ને આ આટલું બોલ્યા ! વીતરાગોને ત્યાં આવી હરીફાઈ હોય નહીં. પણ આ તો દુષમકાળમાં પેસી ગયું. દુષમકાળનાં લક્ષણો બધાં. વીતરાગોને ત્યાં હરીફાઈ ના હોય. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે. માણસ ચડસે ચઢે. આપણે ત્યાં કોઈ એવું લક્ષણ ના હોય. અહીં પૈસાની માગણી ના હોય. (પા.૪૩૭)ઘરના ઘીના દીવાએટલે અહીં આગળ લક્ષ્મીની લેવડ-દેવડ છે જ નહીં. અહીં આગળ લક્ષ્મી હોય જ નહીં. અહીં પુસ્તકો ફ્રી ઑફ કોસ્ટ લઈ જાવ. અહીં પૈસાની લેવા-દેવા નહીં. અહીં રોજ આરતી થાય છે. છતાં દીવાના ઘી માટે બૂમ નહીં કે અહીં ઘી બોલો. દીવો તો સહુ સહુના ઘરના કરે. રોજ એમને ત્યાં સત્સંગ થાયને, તે એમના દીવા બધા, ખર્ચા જ એમના ને ! અહીં ઘીના પૈસાની ઉઘરાણી નથી કરતા. લેતાંય કેવી ઝીણી સમજણ !અહીં ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે પુસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા ? ‘આટલા બધા’ કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને ? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે સહેજ આપણાથી મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય. એટલે જેણે જેણે આપ્યા છે ને તે પોતે જ્ઞાનદાન સમજીને આપે છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી. પુસ્તકો છપાવવાની વ્યવસ્થાઅહીં પુસ્તકોનો પૈસો ના હોય. એ ભાડાનું મકાનેય ના હોય. પુસ્તકો છપાવનારા પુસ્તકો છપાવડાવે. અહીં કોઈની પાસે પૈસો લેવાનો નહીં. પૈસાનો વ્યવહાર હોય ત્યાં ભગવાન ના હોય. ને ભગવાન હોય ત્યાં પૈસો લેવાનો ના હોય. માયા ઘૂસી એટલે બધું ઘૂસ્યું. હવે કોઈ શ્રીમંત માણસ હોય તો એ કહેશે, અમારે પુસ્તકો (પા.૪૩૮)છપાવવાં છે, ૨૦૦-૫૦૦, તો અમે એને પરવાનગી આપીએ. એની પાસે સરપ્લસ પૈસા હોય તો જ નહીં તો પછી આ પુસ્તકો તું જ લઈ જા ને અહીંથી ! એમાં વાંધો શું છે તે ? એની કિંમત શું છે ? પેલું પુસ્તક લાવ, એની કિંમત ઉપર લખેલી છે. એવી જ કિંમત લેવાય. બીજી કિંમત લેવામાં આવતી નથી. આ રૂપિયા હવે આવે છે તે નથી લેતા. આ તો કાળો બજાર હોય કે ધોળો બજાર, શું ઠેકાણું ? ધોળા જરા ઓછું હોય છે લોકોની પાસે ! પેલું ઑનનું હોય છે ! અહીં લક્ષ્મીનો વ્યવહાર જ નહીં. આ પુસ્તકની કિંમત લખેલી છે ? ‘પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ’ અહીં તો એ જ કિંમત હોય. અહીં તો મોક્ષ આપવાનો. મોક્ષ હોય ત્યાં તો પરમ વિનય હોય. બીજું કશું હોય નહીં. પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું કરવાનું નથી. આ છે અમૂલ્ય વાણીપુસ્તકના પૈસા તો મળ્યા જ કરે. આ તો હિન્દુસ્તાન કંઈ ખાલી થઈ ગયું નથી. લોકોને તો આની કિંમત ના હોય. પણ જે વણિકો છે, એને તો બહુ કિંમત હોય. અને જેને કિંમત છે એ પૈસાને ગણે જ નહીંને ! અને પુસ્તક ફ્રી ઑફ કોસ્ટ આપવામાં આવે છે. કારણ કે આ આપ્તવાણી છે. એનો પૈસો ના લેવાય. દાદાના હૃદયની વાતએટલા બધા કાગળો આવે છે કે આપણે શી રીતે પહોંચી વળવું એ જ મુશ્કેલી છે એટલે હવે બીજા લોકો છપાવી લેશે ત્યારે. આપણે તો આ ફ્રી ઑફ કોસ્ટ આપીએ. એ પહેલી વખત. ફર્સ્ટ ટાઈમ. પછી એની મેળે લોકો છપાવી લે. આ તો આપણું આ જ્ઞાન ઊભું થયેલું છેને તે ભૂંસાઈ ના જાય. એટલા માો છપાવી નાખવાનું અને કો’કને કો’ક મળી આવે, એની મેળે જ હા પાડે. આપણે ત્યાં અહીં ફરજિયાત વસ્તુ નથી. આપણે ત્યાં ‘લૉ’ નથી. ‘નો લૉ એ જ લૉ’. અહીં કોઈ એવી ઑફિસ નથી કે જમે ઉધાર નથી કે ચાર આનાય (પા.૪૩૯)સિલક નથી. આ ભાઈ બે હજાર આપી ગયા તે મેં કહ્યું કે પાછા આપી દો. પછી એમણે એમના જ નામે બેન્કમાં મૂક્યા. અહીં કોણ સાચવે ? અહીં પૈસાની મમતા જ નહીંપૈસા છે ત્યાં ધર્મ નથી. પૈસાની જરૂર જ ક્યાં છે તે ? પૈસો છે ત્યાં મમતા ઊભી રહી પાછી, સાચવવાની મમતા. ‘આપણે’ એક ફેરો પાંચ હજાર રૂપિયા ભેગા કરી રાખ્યા હતા. અહીં લોકોએ આપેલા. મેં કહ્યું, આ ક્યાં માથે લીધું ? પાછું યાદ રાખવાનું ? કંઈ પુસ્તક-બુસ્તક છપાવી દો. હવે ફરીથી લેશો નહીં. લેવાનું જ નહીં. ભાંજગડ જ નહીંને ! અહીં પુસ્તક છપાવ્યું હોયને તો પૈસા આપણા દીપે ને તે પુણ્ય હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય. નહીં તો છપાવાય નહીંને. ને એ મેળ ખાય નહીંને ! (પા.૪૪૦)(૮) લક્ષ્મી અને ધર્મદાન ક્યાં અપાય ?પ્રશ્નકર્તા : અમુક ધર્મોમાં એવું કહ્યું છે કે જે કોઈ કમાણા હોય એમાંથી અમુક ટકા દાન કરો. પાંચ-દસ ટકા દાન કરો. તો એ કેવું ? દાદાશ્રી : ધર્મમાં દાન કરવાનો વાંધો નથી. પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોયને, અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો. બીજી જગ્યાએ આપો. પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો સદુપયોગ કરી નાખો, ગમે ત્યાં આગળ. પણ જેથી કરીને ધર્માચાર્યોએ પૈસા લેવા ના જોઈએ. જેવું આવ્યું, તેવું જાય...આ તો ભગવાનના નામ પર, ધર્મના નામ પર બધું ચાલ્યું છે ! પ્રશ્નકર્તા : દાન આપનારા માણસ તો એમ માને કે મેં શ્રદ્ધાથી આપ્યું છે. પણ જેને વાપરવાનું છે એ કેવું કરે છે, એની આપણને શું ખબર પડે ? દાદાશ્રી : પણ એ તો આપણા રૂપિયા ખોટા હોય તો એ અવળે રસ્તે જાય. જેટલું નાણું ખોટું એટલું ખોટે રસ્તે જાય ને સારું નાણું એટલે સારે રસ્તે જાય ! ત્યાં છે સત્સંગજ્યાં આગળ પૈસાની વાતો છે, સ્ત્રીઓની વાતો જ્યાં હોય ત્યાં (પા.૪૪૧)નર્યો કુસંગ છે, જ્યાં ધર્મની વાત હોય, સાચા સુખની વાતો હોય, જ્યાં કોઈને સુખી કરવાની ઇચ્છાઓ, ભાવનાઓ હોય, એવી બધી વાતો હોય ત્યાં સત્સંગ છે. ત્રણ ગુણ ઘટેમોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ તો હોય નહીં, ને લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગરનાં કેટલાં કેન્દ્રો ચાલે છે ? પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : એ માયા છૂટતી નથીને ! ગુરુનેય માયા પેસી ગયેલી હોય. કળિયુગ છે ને એટલે પેસી જાયને, થોડી ઘણી ? એટલે જ્યાં આગળ સ્ત્રીસંબંધી વિચાર છે, જ્યાં પૈસા સંબંધી લેવડ-દેવડ છે ત્યાં સાચો ધર્મ થઈ શકે નહીં. સંસારીઓ માટે નહીં પણ જે ઉપદેશકો હોય છેને, જેમના ઉપદેશના આધારે ચાલીએ, ત્યાં આ ના હોવું જોઈએ. નહીં તો આ સંસારીઓને ત્યાંય એ જ છે અને તમારે ત્યાંય એ જ ? એવું ના હોવું જોઈએ. અને ત્રીજું કયું ? સમ્યક્દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે લક્ષ્મી ને સ્ત્રીસંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લીકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલેય લીકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તોય વાંધો નથી પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તો તેનો વાંધો નથી કે ‘બાપજી બાપજી’ કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્રનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર. વ્યવહાર કેવો ઘટે ?વ્યવહાર ચારિત્ર એટલે આ વ્યવહારમાં કોઈને દુઃખ ના થાય (પા.૪૪૨)એવું બધું વર્તન હોય. દુઃખ દેનારનેય દુઃખ ના થાય, એ વર્તન, એ વ્યવહાર, ચારિત્ર અને વિષય બંધ હોવા જોઈએ. વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ ? કે વિષય બંધ હોવો જોઈએ. કયો વિષય ? સ્ત્રી વિષય. અને બીજું લક્ષ્મી બંધ. લક્ષ્મી હોય ત્યાં આગળ ચારિત્ર હોઈ શકે નહીં. પ્રશ્નકર્તા : લક્ષ્મી હોય ત્યાં ચારિત્ર ના હોય એ કેવી રીતે ? દાદાશ્રી : એ ચારિત્ર જ ના કહેવાય. પ્રશ્નકર્તા : પણ એમાં સદ્વ્યવહારેય થાયને ? દાદાશ્રી : નહીં. સદ્ કરે ત્યારથી જ દુર્વ્યવહાર ચાલુ થાય. સદ્ેય નહીં ને અસદ્ેય નહીં, એવો વ્યવહાર જ નહીં કરવાનો. આ અમારે વીસ વર્ષથી, પચ્ચીસ વર્ષથી પૈસાનો વ્યવહાર નહીં કોઈ જાતનો. પછી ભાંજગડ જ નહીંને. ચાર આનાય મારા ગજવામાં હોય નહીં કોઈ દહાડોય. આ બેન વહીવટ કરે બધોય અમારો ! એમાં છે દ્રષ્ટિનો વાંકપ્રશ્નકર્તા : લક્ષ્મી અને સ્ત્રી એ સાચી ધાર્મિકતાની વિરુદ્ધમાં છે. પણ સ્ત્રીઓ તો વધારે ધાર્મિક હોય છે એવું કહેવાય છે. દાદાશ્રી : સ્ત્રીમાં ધાર્મિકતા હોય તેનો સવાલ નથી. સ્ત્રીઓ ધર્મને માટે વાંધો નથી. પણ દ્રષ્ટિ માટે વાંધો છે, કુવિચાર માટે વાંધો છે. સ્ત્રીઓને ભોગનું સ્થાન માનો છો એ વાંધો છે. એ આત્મા છે, ભોગનું સ્થાન નથી. ગુરુયે સારા પાકશે. હવે બધું જ બદલાવાનું. સારા એટલે ચોખ્ખા. હા, ગુરુને પૈસાની અડચણ હોય તો આપણે પૂછવું કે આપને પોતાને નિભાવણી માટે શું જરૂરી છે ? બાકી બીજું કંઈ એમને ના હોવું જોઈએ, અગર તો મોટા થવું છે, ફલાણા થવું છે, એવું ના હોવું જોઈએ. તો એ કહેવાય રામલીલાબાકી જ્યાં લક્ષ્મી લેવામાં આવે છે, ફી તરીકે લક્ષ્મી લેવામાં આવે (પા.૪૪૩)છે, વેરા તરીકે લેવામાં આવે છે ત્યાં ધર્મ ના હોય. પૈસા હોય ત્યાં ધર્મ ના હોય ને ધર્મ હોય ત્યાં પૈસા ના હોય. એટલે સમજાય એવી વાતને ? જ્યાં વિષય ને પૈસા હોય ત્યાં ગુરુ જ નથી. ધર્મમાં ફી દાખલ થાયને, ત્યારથી એને આગળના જ્ઞાનીઓ રામલીલા કહેતા’તા. રામલીલાવાળા પહેલાં પૈસા નહોતા ઉપજાવતા. પછી લેતા હતા. આ તો પહેલાં ઊપજાવે. જેમ સિનેમાવાળા પહેલાં જ પૈસા લે છેને ? ત્યાર પછી જ મહીં પેસાડે છેને ? પછી સિનેમા ના ગમે તોય આપણે પૈસા પાછા ના લેવાય. મોક્ષ હોય ત્યાં ફી હોય નહીં. ડૉક્ટરેય ફી લે અને મોક્ષવાળા પણ ફી લે ત્યારે ફેર શો ? મોક્ષવાળા કોઈ જગ્યાએ ફી લેતા હશે ? કોઈ જગ્યાએ લેતા નથી ? પૈસો ક્યાં વાળવો ?હવે પૈસો સારે રસ્તે જાય એવું કરવું. સારે રસ્તે એટલે આપણા સિવાય પારકા માટે વાપરવું. કંઈ ગુરુને જ ખવડાવી દેવાનું નહીં. ગુરુ તો પાછા એની છોડીઓ પૈણાવે ને છોકરાં પૈણાવે ? જે અડચણવાળા હોય. દુઃખી હોય એને કંઈક આપવું. અગર તો સારાં પુસ્તક છપાવીને આપતા હોય, તો લોકોને હિતકારી થાય ને જ્ઞાનદાન કહેવાય. સારે રસ્તે ધર્માદા જતો હોય તો જવા દેવો. અને તે પૂર્વે આપેલું હોય તેથી જ અત્યારે લેવાનું. આપ્યું જ ના હોય તો લેવાનું શું તે ? પધરામણી કે પઝલોપછી કેટલાક પધરામણી કરાવીને પૈસા પડાવી લે છે. આ ગુરુઓ પગલાં પાડે તોય રૂપિયા લે, તે આ ગરીબના ઘેર પગલાં પાડોને ! ગરીબને શું કરવા આમ કરો છો ? ગરીબના સામું જોવાનું નહીં ? તે એક પગલાં પડાવનારને મેં કહ્યું, ‘અલ્યા, રૂપિયા ખોવે છે ને વખત નકામો બગાડે છે. એમનાં પગલાં પાડ્યા કરતાં કોઈ ગરીબનું પગલું પાડ કે જેમાં દરિદ્રનારાયણ પધાર્યા હોય. આ બધા ગુરુઓનાં પગલાંને શું કરવાનાં ?!’ પણ પબ્લિક એવી લાલચુ છે કે તે કહેશે, ‘પગલાં પાડે તો આપણું કામ થઈ જાય. છોકરાને ઘેર છોકરો થઈ જાય, આજ પંદર વર્ષથી નથી તો.’ (પા.૪૪૪)પ્રશ્નકર્તા : શ્રદ્ધા છે લોકોને તેથી. દાદાશ્રી : નહીં. લાલચુ છે તેથી ! શ્રદ્ધા ન્હોય. એને શ્રદ્ધા ના કહેવાય. લાલચુ. આ તો મનેય લોકો કહે છે કે, દાદાએ જ બધું આ આપ્યું. ત્યારે હું કહું છું કે દાદા તો કશું આપતા હશે ?! પણ બધું, દાદાને માથે આરોપ કરે ! તમારું પુણ્ય અને યશનામકર્મ મને યશ મળવાનો હોય એટલે મળ્યા જ કરે. હાથ અડાડું એટલે તમારું કામ થઈ જાય. ત્યારે આ બધાં કહે છે, ‘દાદાજી તમે જ કરો છો આ બધું.’ હું કહું કે ના, હું નથી કરતો. તારું જ તને મળ્યું છે આ બધું હું શું કરવા કરું ? હું ક્યાં આ ભાંજગડો લઉં ?! હું ક્યાં આ તોફાનોમાં પડું ?! કારણ કે મારે કશું જોઈતું નથી, જેની કશી વાંછના નથી. કોઈ ચીજના ભિખારી નથી, તો ત્યાં તમારું કામ કાઢી લો. હું તો શું કહું છું કે અમારાં પગલાં પડાવો પણ લક્ષ્મીની વાંછનાપૂર્વક ના કરો. ઠીક છે એવું કંઈ નિમિત્ત હોય, તે અમારાં પગલાં પાડો. અહીં ‘ગલ’ ના મળે કોઈનેપ્રશ્નકર્તા : ઘરના ઉદ્ધારને બદલે પોતાનો ઉદ્ધાર થાય એવું તો કરી શકે કે નહીં ? દાદાશ્રી : હા, બધું કરી શકે. બધું જ થઈ શકે. પણ લક્ષ્મીની વાંછના ના હોવી જોઈએ. આ દાનત ખોરી ના હોવી જોઈએ. અને આ તમે મને ફોર્સ કરીને ઉઠાવી જાવ. એનો અર્થ પગલાં પાડ્યાં કહેવાય ? પગલાં એટલે તો રાજીખુશીથી થવાં જોઈએ. પછી ભલે તમે મને શબ્દોથી રાજી કરો કે કપટજાળથી રાજી કરો. પણ કપટજાળથીયે હું રાજી થાઉં એવો નથી. આખા વર્લ્ડને હું બનાવીને બેઠો છું અને આખા બ્રહ્માંડનો સ્વામી થયેલો છું. અમનેય છેતરનારા આવે છે, આ ગલીપચીઓવાળા આવે, પણ હું ના છેતરાઉં ! અમારી પાસે લાખો માણસ આવતા હશે, તે ગલીપચીઓ કરે, બધું કરે પણ રામ તારી માયા... ! અને અહીં ગલ જ ના મળેને ! એ જાણે કે દાદા પાસે કંઈ ફાવે એવું છે નહીં, એટલે પાછો જાય ! આવા (પા.૪૪૫)ગુરુ જોઈ લીધા છે, બધા છેતરનારા ગુરુ જોઈ લીધા છે. એવા ગુરુ આવે એટલે હું ઓળખું કે આ આવ્યા છે. છેતરનારાને ગુરુ જ કહેવાયને ?! ત્યારે બીજું કોણ તે ?! અને ‘છેતરનાર’ શબ્દ કહેવાય જ નહીં, ગુરુ જ કહેવાયને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવા બધા બહુ મળ્યા. એને મોંઢે કશું ના કહું. એ એની મેળે જ કંટાળી જાય કે અહીં હું કહેવા આવ્યો છું. પણ કશું સાંભળતા નથી. આટલું બધું આપવા આવ્યો છું. પણ પછી એ કંટાળી જાય કે ‘આ દાદા પાસે કંઈ ફાવીએ એવું લાગતું નથી. આ બારી ભવિષ્યમાં ઊઘડે નહીં’ અરે, મારે કશું જોઈતું નથી, શું કરવા બારી ખોલવા આવ્યો છે ?! જેને જોઈતું હોય ત્યાં જાને, ગમે તેવા આવે તોય પાછા કાઢી મેલું કે ‘ભઈ અહીં નહીં.’ લોક તો કહેવા આવશે કે, ‘આવો કાકા’ તમારા વગર તો મને ગમતું નથી. કાકા, ‘તમે કહો એટલું કામ કરી આપીશ. તમારું, કહો એટલું બધું, તમારા પગ દાબીશ.’ અલ્યા આ તો ગલીપચી કરે છે. ત્યાં બહેરા થઈ જવું. સમજ પડીને ? એટલે બધું સરળ થઈ પડ્યું છે, તો હવે આપણું કામ પૂરું કરી લો. આટલું બધું સરળ નહીં આવે. આવો ચાન્સ ફરી નહીં આવે. આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચી ઓછી થવા દોને ! આ ગલીપચીઓમાં મજા નથી. ગલીપચી કરનારા લોક તો મળશે, પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે, આ એક અવતાર ! હવે તો અરધો જ અવતાર રહ્યો છેને ! હવે આખોય અવતાર ક્યાં રહ્યો છે ?! પ્યોર જ પ્યોર બોલેપ્રશ્નકર્તા : આપ આવું બોલ્યા. બીજો કોઈ આવું કહેતો નથી. દાદાશ્રી : હા, પણ પ્યોર થયો હોય તો બોલેને ! નહીં તો એ શી રીતે બોલે ?! એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ (પા.૪૪૬)દુનિયાનાં સુખો જોઈએ છે. એ શું બોલે તે ? એટલે પ્યૉરિટિ હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આ વર્લ્ડનું સોનું અમને આપે તોય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તોય અમારે નથી. સ્ત્રીસંબંધી વિચાર જ ના આવે. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ? શુદ્ધ ચારિત્ર જ ખપેપ્રશ્નકર્તા : એટલે કોઈ પણ ગુરુનું વ્યક્તિગત ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ. દાદાશ્રી : હા, ગુરુનું ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. શિષ્યનું ચારિત્ર ના પણ હોય, પણ ગુરુનું ચારિત્ર તો એક્ઝેક્ટ હોવું જોઈએ. ગુરુ જો ચારિત્ર વગરના છે તો ગુરુ જ નથી એનો અર્થ જ નથી. સંપૂર્ણ ચારિત્ર જોઈએ. આ અગરબત્તી ચારિત્રવાળી હોય છે. આટલી રૂમમાં જો પાંચ-દશ અગરબત્તી સળગાવી હોય તો આખો રૂમ સુગંધીવાળો થઈ જાય ત્યારે ગુરુ તો ચારિત્ર વગરના ચાલતા હશે ?! ગુરુ તો સુગંધીવાળા હોવા જોઈએ. તેને મળે જગતનાં સર્વ સૂત્રોજેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે, પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ? ધર્મ કે ધંધો ?અને આ તો ખાલી બિઝનેસમાં પડ્યા છે લોકો. એ લોકો ધર્મના બિઝનેસમાં પડ્યા છે. એમને પોતાને પૂજાવડાવીને નફો કાઢવો છે. હા, અને એવી દુકાનો તો આપણા હિન્દુસ્તાનમાં બધી બહુ છે. એવી કંઈ બે-ત્રણ દુકાનો જ છે ?! આ તો પાર વગરની દુકાનો છે. હવે એ દુકાનદારને (પા.૪૪૭)આપણે આવું કહેવાય કેમ કરીને ? એ કહે કે ‘મારે દુકાન કાઢવી છે ?’ તો આપણે નાયે કેમ કહેવાય ? તો ઘરાકને આપણે શું કરવું જોઈએ ? પ્રશ્નકર્તા : રોકવો જોઈએ. દાદાશ્રી : ના, રોકાય નહીં. આ તો દુનિયામાં આવી રીતે ચાલ્યા જ કરવાનું. પ્રશ્નકર્તા : અત્યારે તો કરોડો રૂપિયા ઉઘરાવીને આશ્રમ બંધાય છેને લોકો એની પાછળ પડ્યા છે. દાદાશ્રી : પણ આ રૂપિયા જ એવા છેને ! રૂપિયામાં બરકત નથી તેથી. પ્રશ્નકર્તા : પણ એ લક્ષ્મીને સાચા રસ્તે વાપરે, શિક્ષણકામમાં વાપરે કે કોઈ ઉપયોગી સેવામાં વાપરે તો ! દાદાશ્રી : એ વપરાય, તોય પણ મારું કહેવાનું કે એમાં ભગવાનને નથી પહોંચતું કશું. એ સારા રસ્તે વપરાય તો તેમાં જરાક ખેતરમાં ગયું તો ઘણું વધારે ઊપજે. પણ એમાં એને શો લાભ થયો ? બાકી જ્યાં લક્ષ્મી ત્યાં ધર્મ હોય નહીં. જેટલી લક્ષ્મી જ્યાં આગળ છે, એટલો જ ધર્મ કાચો છે ત્યાં ! પ્રશ્નકર્તા : લક્ષ્મી આવી એટલે પછી એની પાછળ ધ્યાન આપવું પડે, વ્યવસ્થા કરવી પડે. દાદાશ્રી : ના, એમ નહીં. એની વ્યવસ્થા માટે નહીં. વ્યવસ્થા તો લોક કહેશે, ‘આમ કરી લઈશું.’ પણ આ લક્ષ્મીની હાજરી છે ત્યાં ધર્મ એટલો કાચો, કારણ કે મોટામાં મોટી માયા લક્ષ્મી અને સ્ત્રી ! આ બે મોટામાં મોટી માયા. એ માયા છે ત્યાં ભગવાન ના હોય અને ભગવાન હોય ત્યાં માયા ના હોય. અને એ પૈસો પેઠો, એટલે કેટલો પેસી જાય એનું શું ઠેકાણું ?! અહીં કોઈ કાયદો છે ? માટે પૈસા બિલકુલ જડમૂળથી ના હોવા જોઈએ. ચોખ્ખા થઈને આવો, મેલું કરશો નહીં ધર્મમાં ! (પા.૪૪૮)જ્યાં ફી હોય ત્યાં નથી ધર્મપાછા ફી રાખે છે બધા, જાણે નાટક હોય એવું ! નાટકમાં ફી રાખે એવી પાછા ફી રાખે છે. મહીં સેંકડે પાંચ ટકા સારાયે હોય છે. બાકી તો સોનાના ભાવ વધી ગયા એવા આ એમનાય ભાવ વધી જાયને ! તેથી મારે પુસ્તકમાં લખવું પડ્યું કે જ્યાં પૈસાની લેવડદેવડ છે ત્યાં ભગવાન નથી અને ધર્મેય નથી. જેમાં પૈસાની લેવડદેવડ નથી વેપારી બાજુ જ નથી ત્યાં ભગવાન છે ! પૈસા, લેવડદેવડ એ વેપારી બાજુ કહેવાય. બધેય પૈસો, જ્યાં જાવ ત્યાં પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા ! બધે ફી, ફી ને ફી છે ! હા, ત્યારે ગરીબોએ શું ગુનો કર્યો બિચારાએ ? અને ફી રાખો તો ગરીબને માટે એમ કહો કે, ‘ભઈ, ગરીબની પાસે ચાર આના લઈશું બહુ થઈ ગયું.’ તો તો ગરીબથીયે ત્યાં જવાય. આ તો શ્રીમંતો જ લાભ લે. બાકી, જ્યાં ફી રાખી હોય તો શી દશા થાય ? એક ફેરો ‘જ્ઞાન’ લેવા માટે તો તમે ખર્ચી નાખો, પણ પછી કહેશે ‘જ્ઞાન મજબૂત રીતે પાળીશું, પણ હવે ફરી ફી ના આપીએ.’ આ તો આપણે કોઈનું નામ લેવું એ ખોટું કહેવાય. આ તો તમને રૂપરેખા આપું છું કે આ ધર્મની શી દશા થઈ છે અત્યારે. ગુરુ જે વેપારી તરીકે થઈ બેઠા છે એ બધું ખોટું. જ્યાં પ્રેક્ટિશનર હોય છે, ફી રાખે છે, કે આજે આઠ-દશ રૂપિયા ફી છે, કાલે વીસ રૂપિયા ફી છે, તો એ બધું નકામું. જ્યાં પૈસાનો વેપાર છે ત્યાં ગુરુ ના કહેવાય. જ્યાં ટિકિટો છે એ તો બધું રામલીલા કહેવાય. પણ લોકોને ભાન નથી રહ્યું, એટલે બિચારા ટિકિટવાળાને ત્યાં જ પેસે છે. કારણ કે ત્યાં આગળ જૂઠું છે ને આ પોતે પણ જૂઠો છે. એટલે બન્ને એડજસ્ટ થઈ જાય છે. એટલે સાવ જૂઠું ને સાવ પોલંપોલ ચાલી રહ્યું છે તદ્દન. આ તો પાછા કહેશે, ‘હું નિઃસ્પૃહ છું, હું નિઃસ્પૃહ છું.’ અરે આ ગા ગા શું કરવા કરે છે તે ! તું નિઃસ્પૃહી છે તો તારા પર કોઈ શંકા રાખનાર નથી. અને તું સ્પૃહાવાળો છે તો તું ગમે એટલું કહીશ તોય તારા (પા.૪૪૯)પર શંકા કર્યા વગર છોડવાના નથી. કારણ કે તારી સ્પૃહા જ કહી આપશે. તારી દાનત જ કહી આપશે. એમાં દોષ કોનો ?આ તો બધા ભીખને માટે નીકળેલા છે. એમનું પેટ ભરવા નીકળ્યા છે. સહુ સહુનું પેટ ભરવા નીકળ્યા છે. અગર તો પેટ ના ભરવાનું હોય તો કીર્તિ કાઢવી હોય, કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ ! જો ભીખ વગરનો માણસ હોય તો એની પાસે જે માગો તે પ્રાપ્ત થાય. ભીખવાળા પાસે આપણે જઈએ તો એ પોતેય સુધરેલો ના હોય ને આપણનેય સુધારે નહીં, કારણ કે દુકાનો ચાલુ કરી છે લોકોએ. અને આ ઘરાકો મળી આવે છે નિરાંતે ! એક જણ મને કહે છે કે, ‘એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ ?’ મેં કહ્યું, ‘ઘરાકનો દોષ !’ દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે, આપણે ના સમજીએ ? આટલો લોટ ટાંકણીમાં ચોપડીને ઘાલે છે અને પેલો મચ્છીમાર એને તળાવમાં નાખે છે. તેમાં મચ્છીમારનો દોષ કે એ ખાનારનો દોષ ? જેને આ લાલચ છે તેનો દોષ છે કે મચ્છીમારનો ? જે પકડાય એનો દોષ ! આ આપણા માણસો બધા પકડાયા જ છેને, આ બધા ગુરુઓથી ! લોકોને પૂજાવું છે, એટલા માટે વાડા ઊભા કરી દીધા. આમાં આ ઘરાકોનો બધોય દોષ નથી બિચારાનો. આ દલાલોનો દોષ છે. આ દલાલોનું પેટ ભરાતું જ નથી, ને જગતનું ભરવા દેતા નથી. એટલે હું આ ઉઘાડું કરવા માગું છું. આ તો દલાલીઓમાં જ લહેરપાણી ને મોજ કર્યા કરે છે, ને પોતપોતાની સેફસાઈડ જ ખોળી છે પણ એમને કહેવું નહીં કે તમારો દોષ છે. કહેવામાં શું ફાયદો ભાઈ ? સામાને દુઃખ ઊભું થાય. આપણે દુઃખ ઊભું કરવા - કરાવવા આવ્યા નથી. આપણે તો સમજવાની જરૂર છે કે ખામી ક્યાં છે ?! હવે દલાલો કેમ ઊભા રહ્યા છે ? કારણ કે ઘરાકી મજબૂત છે. એટલે ઘરાકી જો ના હોય તો દલાલો ક્યાં જાય ? જતા રહે. પણ ઘરાકીનો દોષ છેને, મૂળ તો ! એટલે મૂળ દોષ તો આપણો જ છે ! દલાલ ક્યાં સુધી ઊભા રહે ? ઘરાકી હોય ત્યાં (પા.૪૫૦)સુધી. હમણે આ મકાનોના દલાલો ક્યાં સુધી હૈંડ હૈંડ કરશે ? મકાનોના ઘરાક હોય ત્યાં સુધી. નહીં તો બંધ, ચૂપ ! કળિયુગ, તારી રીત ઊંધીબાકી અત્યારે આ સંતો વેપારી થઈ ગયા છે. જ્યાં પૈસાનો વ્યાપાર ચાલે એ સંત જ ના કહેવાય. અને આપણા લોકોને એની સમજણેય નથી. સાચો હોય તો એનીય કિંમત અને ખોટો હોય તો એનીય કિંમત. ખોટાની વધારે કિંમત, ખોટો એ મીઠું બોલેને કે, ‘આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ’ એ કડવું ના બોલેને ?! એટલે ખોટાની વધારે કિંમત ને તે આ કાળમાં જ, બીજા કાળમાં આવું નહોતું. બીજા કાળમાં તો ખોટાની કિંમત જ ના હોયને ! સંતપુરુષ, તો પૈસા લે નહીં. દુખિયો છે તેથી તો એ તમારી પાસે આવ્યો, ને પાછા ઉપરથી સો પડાવી લીધા ! તે આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય તો આવા સંતોએ ખલાસ કરી નાખ્યું છે. તે સંત તે એનું નામ કહેવાય કે જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા આવ્યા ના હોય. લેનાર થાય નાદારઆ કંઈ સુખી છે ? મૂળ તો દુઃખી છે લોકો અને એની પાસે રૂપિયા લો છો ?! દુઃખ કાઢવા માટે તો ગુરુ પાસે જાય છેને ! ત્યારે તમે એના પચ્ચીસ રૂપિયા લઈને એનું દુઃખ વધારો છો ! એક પઈ ના લેવાય. બીજા પાસે કંઈ પણ લેવું એનું નામ જુદાઈ કહેવાય અને તેનું નામ જ સંસાર. એમાં એ જ ભટકેલો છે. જે લેનાર માણસ છે એ ભટકેલો કહેવાય. એને પારકો જાણે છે માટે એ પૈસા લે છે. આ દુનિયાની કોઈ પણ ચીજ, એક રૂપિયો પણ જો હું વાપરું તો હું એટલો નાદારીમાં જઉં. ભક્તોની એક પઈ પણ ના વપરાય. આ વેપાર જેણે કાઢ્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે. એટલે જે કંઈ એની આ સિદ્ધિ પ્રાપ્ત છે, એ ખોઈને જતા રહેશે. જે થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ તેના આધારે માણસો બધા ભેગા થતા હતા. પણ પાછી સિદ્ધિ ખલાસ થઈ જાય. કોઈ પણ સિદ્ધિનો દુરુપયોગ કરો તો સિદ્ધિ ખલાસ થઈ જાય. (પા.૪૫૧)અહીં માગો, મૂકો નહીંકેટલાક લોકો અહીં આવીને પૈસા મૂકે છે. અલ્યા અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માંગવાના હોય, અહીં મૂકવાનું હોતું હશે ? જ્યાં બ્રહ્માંડનો માલિક બેઠેલો છે ત્યાં તો મૂકવાનું હોતું હશે ? આપણે માંગવાનું હોય કે મને આવી અડચણ છે તે કાઢી આપજો, બાકી પૈસા તો કોઈ ગુરુને મૂકજે. એમને કંઈ લૂગડાં જોઈતાં હોય, બીજું કશું જોઈતું હોય. જ્ઞાની પુરુષને તો કશું જ જોઈતું હોય નહીં ! આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો મારા ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું. મારા પોતાના કમાયેલા, પોતાની કમાણીના જ પૈસામાંથી, તેથી આવો મેલો ફરું છું. સંઘના પહેરતો હોત તો ધોતિયાં ચારસો ચારસોના મળેને ? અરે, હું તો નથી લેતો, પણ આ બેન પણ નથી લેતાં ! આ બેનેય મારી જોડે રહે છે તે કપડાં પોતાનાં ઘરના પહેરે છે. પૈસા નહીં, દુઃખ લેવા આવ્યો છુંએક મિલના શેઠિયાએ સાંતાક્રુઝ અમે રહેતા ત્યાં આવડી આવડી ત્રણ પેટીઓ મજૂર સાથે ઉપર મોકલાવી. પછી શેઠિયો ઉપર મળવા આવ્યો. મેં કહ્યું, ‘શું છે આ બધું શેઠ ?’ ત્યારે શેઠે કહ્યું, ‘કુછ નહીં, ફૂલ નહીં પણ ફૂલની પાંખડી...’ મેં કહ્યું, ‘શેને માટે આ પાંખડી લાવ્યા છો ?’ ત્યારે એ કહે છે, ‘કુછ નહીં, કુછ નહીં સા’બ’, મેં કહ્યું તમને કશું દુઃખ કે અડચણ છે ? ત્યારે એ કહે છે, ‘શેર મટ્ટી ચાહીએ.’ અલ્યા શેર મટ્ટી કયા અવતારમાંય નહોતી ? કૂતરામાં ગયો ત્યાંય બચ્ચાં. ગધેડામાં ગયો ત્યાંય બચ્ચાં. વાંદરામાં ગયો ત્યાંય બચ્ચાં, જ્યાં ગયો ત્યાં બચ્ચાં. ‘અલ્યા કયા અવતારમાં નહોતી આ મટ્ટી ? હજુ શેર મટ્ટી જોઈએ છે ? ભગવાન તમારા ઉપર રાજી થયા ત્યારે તમે પાછા મટ્ટી ખોળો છો ? પાછા મને લાંચ આપવા આવ્યા છો ? આ તમારી લીંટ મને ચોપડવા આવ્યા છો ? હું ધંધાદારી માણસ. પછી મારે લીંટ આવે તો હું કોને ચોપડવા જઉં ? આ બહાર બધા ગુરુઓને ચોપડી આવો. એમને બિચારાને લીંટ નથી આવતી. આ તોફાન અહીં ક્યાં લાવ્યા ? ત્યારે એ કહે છે, ‘સાહેબ કૃપા કરો.’ ત્યારે મેં કહ્યું, ‘હા, કૃપા કરીએ, સિફારસ કરું.’ (પા.૪૫૨)તમને જે દુઃખ છે તે અમારે તો વચ્ચે ‘આ બાજુ’નો ફોન પકડ્યો ને ‘આ બાજુ’ કરવાનો. અમારે વચ્ચે કશું નહીં. ખાલી એક્સચેન્જ કરવાનું. નહીં તો અમને જ્ઞાની પુરુષને આ હોય જ નહીંને ! જ્ઞાની પુરુષ આમાં કંઈ હાથ ઘાલે નહીં. પણ આ બધાનાં દુઃખ સાંભળવા પડ્યાં છેને ! આ દુઃખ બધાં મટાડવા પડ્યાં હશેને ? અડચણ પડે તો રૂપિયા માંગવા આવજે ! હવે, હું તો રૂપિયા આપતો નથી. હું ફોન કરી દઈશ બરોબર ! પણ લોભ ના કરીશ. તને અડચણ હોય તો જ આવજે. તારી અડચણ પૂરતું બધું જ કરીશ પણ લોભ કરવા જઈશ તે ઘડીએ હું બંધ કરી દઈશ. તમારાં દુઃખો મને સોંપી દો અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે ‘દાદા’ આટલા દુઃખ મને છે તે હું તમને સોંપી દઉં છું. એ હું લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ? હું આ દુનિયામાં દુઃખો લેવા આવ્યો છું. તમારાં સુખ તમારી પાસે રહેવા દો એમાં તમને વાંધો ખરો ? તમારા જેવા અહીં પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ? હું તો દુઃખ લેવા આવ્યો છું. તમારા પૈસા તમારી પાસે રહેવા દો, એ તમને કામ લાગશે અને જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઊલટા તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય. એક માણસને તો ચોખ્ખો રહેવા દો, આ દુનિયામાં. પેલા શેઠને મેં કહ્યું, ‘તમે લોકો કોઈને ચોખ્ખા નહીં રહેવા દો. એકને ચોખ્ખો રહેવા દો. દુનિયાનો કંઈ પુરાવો રહે. આ તો પુરાવો હઉ ઊડાડી દો છો તમે. તે પછી પેલા ઠંડા થઈ ગયા. ત્યાર પછી મેં કહ્યું, તમે આવો જાવ, દર્શન કરો, બધું કરો, તમારી ઇચ્છાઓ પૂરી થાય એવું છે. આ જ્ઞાની પુરુષ પાસે પણ ઇચ્છા રાખવાની નહીં. તમારે સોંપી દેવાનું કે સા’બ, આપકું સોંપ દિયા સબ બાત. એટલે તમારી ઇચ્છાઓ પૂરી થઈ જશે. પણ આવી લાંચો લાવ્યો અહીં ? મને ચોપડવા આવ્યો છે ? હવે આ ક્વૉલિટી કેવી છે ? જ્ઞાનીઓનેય છોડે એવી નથી. સાધુ-સંન્યાસીઓને તો ઠીક છે, કારણ કે એમને લીંટ આવતી નથી. તે એને ચોપડી આવે તો વાંધો નથી. પણ (પા.૪૫૩)અમને લીંટ ચોપડવા આવ્યો ? તો મારે કોને ચોપડવા જવું ? એવું કહ્યું એટલે એ શેઠ ભડકી ગયો. આમ ચાલાક તો બહુ હોય, ચંચળ હોય ! ‘અમે’ આઉટ ઑફ બાઉન્ડ્રીમાંએક ઘર ચોખ્ખું રાખવાનું, આ દુનિયામાં, બીજા મહીં ચોખ્ખા હશે ઘણા માણસો. પણ તે ચોખ્ખાય એની બાઉન્ડ્રીના છે. આઉટ ઑફ બાઉન્ડ્રી રહી શકે નહીં. આ આઉટ ઑફ બાઉન્ડ્રી ! અત્યારે વર્લ્ડની બાઉન્ડ્રીમાં રહ્યું ! બધું પાસે હોવા છતાંય નહીં ભોગવવાનું. પોતપોતાની પાસે હોવા છતાંય અમારે વિચાર ના ઉત્પન્ન થાય. ને પેલાની પાસે નથી એટલે વિચાર ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી લાંચના પૈસા કોઈ આપનાર આવેલો નથી, ત્યાં સુધી લાંચના વિચાર ના આવે. એવો એવિડન્સ ઊભો નહીં થયો. અને એવા કડક માણસોયે છે, કે જે આપવા આવે તોય ના લે એવાયે છે. પણ તે બાઉન્ડ્રીમાં કહેવાય. આઉટ ઑફ બાઉન્ડ્રી મનુષ્ય રહી શકે નહીં. એ તો જ્ઞાની પુરુષનું જ કામ. જે દેહથી પર થયેલો હોય, દેહાતીત થયેલા હોય, બીજાનું કામ નહીં. સોનું કે ગાળિયું ?પ્યૉરિટિ હોય નહીં આ દુનિયામાં. બધું ઇમ્પ્યૉર. હવે કોઈ જગ્યાએ સંતપુરુષ સારા હશે. સીધા માણસો હશે, તો આવડત ના હોય. સીધા હોય ત્યારે આવડત ના હોય ! સીધા ખરા, ખરા મહીં ! હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાનું ? કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું ?! મને અમેરિકામાં ગુરુપૂર્ણિમાને દહાડે, સોનાની ચેઈન પહેરાવી જતા હતા, બબ્બે ત્રણ-ત્રણ તોલાની ! પણ હું પાછી આપી દેતો બધાને, કારણ કે મારે શું કરવી છે ? ત્યારે એ બેન રડવા માંડી કે ‘મારી માળા તો લેવી જ પડશે.’ ત્યારે મેં એને કહ્યું ‘હું તને એક માળા પહેરાવું તો (પા.૪૫૪)પહેરીશ ?’ તો એ બેન કહે છે, ‘મને કંઈ વાંધો નથી. પણ તમારું મારાથી ના લેવાય.’ ત્યારે મેં કહ્યું, ‘હું તને બીજા પાસેથી પહેરાવડાવું. એક મણ સોનાની માળા કરાવીએ. અને પછી રાતે પહેરીને સૂઈ રહેવું પડશે. એવી શરત કરીએ તો પહેરીને સૂઈ જાય ખરી ?! બીજે દહાડે કહેશે, ‘લ્યો દાદા, આ સોનું તમારું.’ સોનામાં સુખ હોય તો સોનું વધારે મળે ત્યારે આનંદ થાય. પણ આમાં સુખ છેને, એ માન્યતા છે તારી. રોંગ બિલિફ છે. આમાં સુખ હોતું હશે ? સુખ તો કોઈ ચીજ ન લેવાની હોય ત્યાં સુખ છે. આ વર્લ્ડમાં કોઈ ચીજ ગ્રહણ કરવાની ન હોય ત્યાં સુખ છે. ભગવાનને ધરોતમે પૈસા બધા કમાવામાં નાખો, જ્યારે હું કહું કે પૈસા અલ્યા વેરી દો અહીંથી અને હું તો અડું નહીં પૈસા. પૈસા એ સત્ય નથી. સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ સત્ય છે. આ સોનું મને આપો તો મારે કામનું જ નહીં. મુંબઈમાં બધી બહેનોએ અછોડા કાઢી આપ્યા તો મેં કહ્યું કે મારે કામનું નહીં. તમારે જો મોહ હોય તો રહેવા દેજો. મારે કંઈ તમારા જોઈતા નથી. ત્યારે કહે, ના, અમારો આટલો ભાવ કર્યો છે. તે આપી દેવું છે, તો મેં કહ્યું કે તમારી મરજીની વાત. બાકી અમારે જોઈએ નહીં. સીમંધર સ્વામી ભગવાનના મુગટ કરવા માટે એનો ભાવ કર્યો છે. તો મેં કહ્યું, આપી દો તમે. બાકી અમારે કશું જોઈએ નહીં. રહેવા દો અમને ચોખ્ખાહું તો મારા ઘરનું, મારા પોતાના ધંધાની આવકનું, મારા પ્રારબ્ધનું ખાઉં છું, ને લૂગડાં પહેરું છું. હું કોઈનો પૈસો લેતોય નથી ને કોઈનું આપેલું પહેરતોય નથી. આ ધોતિયાં પણ મારી કમાણીનાં પહેરું છું. અહીંથી મુંબઈ જવાનું પ્લેનનું ભાડું મારા ઘરના પૈસાનું ! પછી પૈસાની જરૂર જ ક્યાં રહી ?! હું તો એક પણ પૈસો લોકોની પાસેથી લઉં તો મારા શબ્દ લોકોને માન્યામાં જ કેમ આવે તે ?! કારણ કે એના ઘરની એંઠ મેં ખાધી. અમારે કંઈ જોઈતું નથી. જેને ભીખ જ નથી કોઈ પ્રકારની એને ભગવાને શું આપવાના હતા ? એક જણ મને ધોતિયાં આપવા આવ્યો, એક જણ ફલાણું આપવા (પા.૪૫૫)આવ્યો, મારે ઇચ્છા હોય તો વાત જુદી છે. પણ મારા મનમાં કશાની ઇચ્છા જ નથી ! મારે તો ફાટેલું હોય તોય ચાલે. એટલે મારું કહેવાનું કે જેટલું ચોખ્ખું રાખશો એટલું આ જગતને લાભદાયી થઈ પડશે ?!! ચોખ્ખા કોને કહેવું ?આ દુનિયામાં જેટલી સ્વચ્છતા એટલી દુનિયા તમારી, તમે માલિક આ દુનિયાના ! જેટલી સ્વચ્છતા તમારી !! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય, માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ ! પ્રશ્નકર્તા : સ્વચ્છતાનો ખુલાસો કરો. દાદાશ્રી : સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભિખારીપણું ના હોય !! એ તો, ઉચ્છેદિયું કાઢેએટલે આત્મા વસ્તુ જુદી છે, ને લોકોને ધર્મમાં વેપાર જોઈએ છે, બધે. વેપારમાં ધર્મ રાખજે કહે છે. વેપાર જે કરતો હતો તે તેની મહીં ધર્મ રાખજે. પણ ધર્મમાં વેપાર ના કરીશ નહીં તો ઉચ્છેદિયું થશે. ઉચ્છેદિયું એટલે શેનું ? છોકરાં એકલાનું નહીં, છોકરાનું ઉચ્છેદિયું થાય તો તો મૂઓ ફાવી જાય. આ તો મહીંથી બધું ઉચ્છેદિયું થાય. મહીં ઉચ્છેદિયું થાય ને પછી થાય પથરાના અવતાર. ડુંગર થઈને પડી રહે. લાખો વર્ષ સુધી. મૂઆ ધર્મમાં વેપાર ના કરીશ, તોયે લોકોએ ધર્મમાં વેપાર માંડ્યા. ઠીક છે ઘેર પાંચ, સાત, દસ જણ આવે છે અને ચાલે છે. મળી આવે પાછા. ‘જૈસે કો તૈસા મિલા, તૈસે કો મિલા તાઈ. તીનોંને મિલકે પિપૂડી બજાઈ’ ત્રણે પિપૂડી બજાવે પછી ચાલ્યા કરે બધું. આટલું જ જો સમજતો હોય તો ધર્મમાં વેપાર ના કરીશ. કિંચિત્માત્ર ધર્મમાં વેપાર નહીં. વેપાર વેપારની જગ્યાએ કરજે. અને લોકોને કહેજે, કે અત્યારે હવે ધર્મ નહીં હું હવે વેપારને ટાણે બેઠો છું. તો વેપાર કરજે. કો’કને ત્યાં નાસ્તો કરવા ગયો હોય, તો કહેવાનું કે ભઈ, અત્યારે મારો (પા.૪૫૬)વેપારી ભાવ રહ્યો છે તો તેનો દોષ નહીં બેસે. એટલું તું જાણું તો છેતરાઈશ નહીં. નહીં તો પોતે હઉ છેતરાય. બેભાનપણું થઈ જાય ને જવાબદારી આવે. આમાં નથી કોઈ દોષિતઅને આ આચાર્ય મહારાજે ખોટું નથી કર્યું. આ દેરાં ને બધું બાંધ્યું, બીજું બધું કર્યું, કંઈ કામ તો કર્યું જ છે બિચારાઓએ. દેરાં બંધાવ્યા, એમ મોટી મોટી હોસ્પિટલો બાંધી. આમ-તેમ કર્યું, ઉકેલ તો લાવ્યાને કંઈક અને એ કર્તા નથી કોઈ. અમને આ જગતમાં કોઈ જીવ દોષિત દેખાતો નથી. અમને ગાળો ભાંડે કોઈ તોય દોષિત દેખાતો નથી અને અમને ફૂલો ચઢાવે તોય દોષિત દેખાતો નથી. પછી હવે અમે બીજી વાતો શા માટે કરીએ છીએ ! જાણવા માટે છે આ ! અને તે હું નથી કરતો પાછો. તે યે ટેપરેકર્ડ છે. હું કરતો હોઉં તો હું પકડાઉં. હું પકડાઉં એવો છું નહીં. હું પકડાઉં એવો માણસ જ નથી. વીતરાગોએ શું કર્યું ? આખા જગતને ઓટીમાં ઘાલી અને વીતરાગ થઈ બેઠા. આખા જગતને ઓટીમાં ઘાલી દીધું, હડહડાટ. હજુ જાગોઆ કાળમાં હજુ કંઈક સમજવા જેવું છે. હવે કાળ એવો આવી રહ્યો છે, કે લગભગ બે-ત્રણ હજાર વર્ષ સુધી સારું ચાલશે. બહુ ઊંચી સ્થિતિ આવશે. ભગવાન મહાવીરના સમય જેવી સ્થિતિ આવશે માટે તે અરસામાં લાભ ઉઠાવી લો તો કામનું છે. હવે નવેસરથી પરિણતિ ફેરવવી કે હવે જ્ઞાની માટે જ જીવવું છે. બીજું બધું તો હું આ હિસાબ છે ને તો મળ્યા કરવાનો છે, તમારે કાર્ય કર્યા કરવાનું. તમારું કાર્ય કરવાનું. ફળ તો તેનું મળ્યા જ કરવાનું છે. બીજા બધા ભાવ બીજી પરિણતિ ફેરવવા જેવી છે. બાકી જોડે લઈ જવાના છો આ બધું ? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : એટલે આવું છેને, જે કર્યું એનો પસ્તાવો કરો. હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ (પા.૪૫૭)સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા તે બધા જેના લીધા હોય તેનાં નામ દઈને, એનું મોઢું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધાં પાપો ધૂઓ તો હજુ ધોઈ શકો છો. પ્યૉરિટી જ આકર્ષે સહુનેલોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ! પ્યૉરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યૉરિટી !!! પ્યૉર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યૉર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. એટલે પ્યૉરિટી લાવવાની ! - જય સચ્ચિદાનંદ પૈસાના વ્યવહાર સંબંધી આપ્તસૂત્રોબે અર્થે લોક જીવે છે : આત્માર્થે જીવે, તે તો કો’ક જ માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મી ‘લિમિટેડ’ છે અને લોકોની માગણી ‘અનલિમિટેડ’ છે ! કમાણી હોય, ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ? ને ખર્ચો આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાનો સંજોગ મળ્યો. કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ ફેડવાનું સાધન છે. પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં, જે વખતે જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને લોભ છૂટે, ને ફરી ફરી અપાય. નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે. લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે. લોભિયાને બે ગુરુઓ : એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવે ને તો લોભની ગાંઠ સડસડાટ તોડી નાખે ! લોભનો અર્થ શો ? બીજાનું પડાવી લેવું. નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે ‘હાશ’ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ ‘હાશ’ કરવા જેવું નથી. કારણ કે ‘ટેમ્પરરી’ છે ! લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું. પણ હિસાબ માંડીશ નહીં ! એક ધંધાના બે છોકરા ! એકનું નામ ખોટ ને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ એ તો, બે જન્મેલાં જ હોય. લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની કૂથલી, નિંદામાં પડે ત્યારે. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે ! ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ! ને છેતરાયેલો અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સદુપયોગ થાય ! |