દાદા ભગવાન પ્રરૂપિત
કર્મનું વિજ્ઞાન
સંકલન : ડૉ. નીરુબેન અમીન
સંપાદકીયઅણકલ્પેલા, અણધારેલા બનાવો અવારનવાર ટી.વી કે છાપામાં જાણવા મળે છે, જેવા કે પ્લેન ક્રેશ થયું ને ૪૦૦ માણસ મરી ગયાં, મોટો બોમ્બ બ્લાસ્ટ થયો, આગ લાગી, ધરતીકંપ, વાવાઝોડાં થયાં હજારો લોકો માર્યા ગયા ! કેટલાય એક્સિડંટમાં માર્યા ગયા, કેટલાક રોગથી મર્યા ને જન્મતાં જ મર્યા ! કેટલાકે આપઘાત કર્યો ભૂખમરાથી ! ધર્માત્મા કાળા કરતૂતો કરતાં પકડાયા, કેટલાય ભિખારીઓ ભૂખે મર્યા ! ત્યારે સંતો ભક્તો જ્ઞાનીઓ જેવા ઉચ્ચ મહાત્માઓ નિજાનંદમાં જીવી રહ્યા છે ! દરરોજ દિલ્હીના કૌભાંડો ઉઘાડા પડે આવાં સમાચારોથી પ્રત્યેક માનવીના હૃદયમાં એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું થઈ જાય છે કે આનું રહસ્ય શું ? આની પાછળ કશું ગુહ્ય કારણ રહેલું હશે ? નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું ? હૃદય દ્રવી જાય, ખૂબ મથામણ છતાં સમાધાન નથી થતું અને અંતે સહુ સહુનાં કર્મો એમ કરીને, અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જવાય છે ! કર્મો કહીએ છતાંય કર્મ શું હશે ? કેવી રીતે બંધાતું હશે ? એની શરુઆત શું ? પહેલું કર્મ ક્યાંથી થયું ? કર્મમાંથી મુક્તિ મળી શકે ? કર્મના ભોગવટાને ટાળી શકાય ? ભગવાન કરતો હશે કે કર્મ કરાવતું હશે ? મૃત્યુ પછી શું ? કર્મ કોણ બાંધતુ હશે ! ભોગવે છે કોણ ? આત્મા કે દેહ ? આપણા લોકો કર્મ કોને કહે છે ? કામ-ધંધો કરે, સત્કાર્ય કરે, દાન-ધરમ કરે એ બધુ કર્મ કર્યું કહે, જ્ઞાનીઓ એને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે પાંચ ઇન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું સ્થૂળમાં છે તે કર્મફળ એટલે કે ડિસ્ચાર્જ કર્મ કહેવાય. ગયા ભવમાં જે ચાર્જ કર્યું હતું તેનું આજે ડિસ્ચાર્જમાં આવ્યું, રૂપકમાં આવ્યું અને અત્યારે જે નવું કર્મ ચાર્જ કરે છે તે તો સૂક્ષ્મમાં થાય છે એ ચાર્જીંગ પોઈન્ટની કોઈનેય ખબર પડે એમ નથી. એક શેઠ પાસે એક સંસ્થાવાળા ટ્ર્સ્ટીઓ ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે તેથી શેઠ પાંચ લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે ‘અલ્યા, આ લોકોને તેં કયાં આપ્યા ? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા.’ ત્યારે શેઠ કહે છે, ‘એ બધાને, એકે એકને હું સારી રીતે ઓળખું પણ શું કરું એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયાય આપું એવો નથી !’ હવે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા તે બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું પણ એ એમનું ડિસ્ચાર્જ કર્મ હતું, અને ચાર્જ શું કર્યું શેઠે ? પાંચ રૂપિયા ય ના આપું ! તે મહીં સૂક્ષ્મમાં અવળું ચાર્જ કરે છે. તે આવતા ભવમાં પાંચ રૂપિયાય નહીં આપી શકે કોઈને ! અને બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને પાંચ જ રૂપિયા આપે છે ને કહે છે કે મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા જ આપી દેત ! જે દિલથી આપે છે તે આવતા ભવે પાંચ લાખ આપી શકે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે ને મહીં સૂક્ષ્મમાં બીજ નંખાય છે તે કોઈનેય ખબર પડે એમ નથી. એ તો અંતર્મુખ દ્રષ્ટિ થાય ત્યારે દેખાય. હવે આ સમજાય તો ભાવ બગાડવાના રહે ? ગયા ભવમાં, ખાઈ પીને મઝા કરવી છે એવા કર્મ બાંધીને લાવ્યો તે સંચિત કર્મ. તે સૂક્ષ્મમાં સ્ટોકમાં હોય છે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે જંગ ફૂડ (કચરો) ખાવા પ્રેરાય અને ખાઈ નાખે તે પ્રારબ્ધ કર્મ અને એનું પાછું ફળ આવે એટલે કે ઈફેક્ટની ઈફેક્ટ આવે કે એને મરડો થઈ જાય, માંદો પડે એ ક્રિયમાણ કર્મ. પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્મના સિદ્ધાંતની આગળ વ્યવસ્થિત શક્તિને જગતનિયંતા કહી છે, કર્મ તો જેનો અંશ માત્ર કહેવાય. ‘વ્યવસ્થિત’માં કર્મ સમાય પણ કર્મમાં ‘વ્યવસ્થિત’ ના સમાય. કર્મ તો બી સ્વરૂપે આપણે સૂક્ષ્મમાં પૂર્વભવથી બાંધીને લાવ્યા તે. હવે એટલાથી કંઈ ના પતે. એ કર્મનું ફળ આવે એટલે કે બીમાંથી ઝાડ થાય ને ફળ આવે ત્યાં સુધી બીજા કેટલાય સંયોગોની એમાં જરૂર પડે છે. બી માટે જમીન, પાણી, ખાતર, ટાઢ, તડકો, ટાઈમ બધા સંજોગો ભેગા થાય પછી કેરી પાકે ને આંબો મળે. દાદાશ્રીએ ખૂબ જ સુંદર ફોડ પાડ્યો કે આ બધું તો ફળ છે. કર્મબીજ તો મહીં સૂક્ષ્મમાં કામ કરે છે. ઘણાને પ્રશ્ન એ થાય છે કે પહેલું કર્મ કેવી રીતે બંધાયું ? પહેલો દેહ કે પહેલું કર્મ ? પહેલું ઈંડુ કે પહેલી મરઘી ? એના જેવી આ વાત થઈ ! ખરેખર વાસ્તવિકતામાં પહેલું કર્મ જેવી વસ્તુ જ નથી વર્લ્ડમાં કોઈ ! કર્મ અને આત્મા બધા અનાદિ કાળથી છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ જડ તત્ત્વનું છે અને આત્મા ચેતન તત્ત્વ છે. બન્ને તત્ત્વો જુદાં જ છે અને તત્ત્વ એટલે સનાતન વસ્તુ કહેવાય. જે સનાતન હોય તેની આદિ ક્યાંથી ? આ તો આત્મા ને જડ તત્ત્વનો સંયોગ થયો ને તેમાં આરોપિત ભાવોનું આરોપણ થયા જ કર્યું. તેનું આ ફળ આવીને ઊભું રહ્યું. સંયોગ વિયોગી સ્વભાવના છે. તેથી સંયોગો આવે ને જાય. તેથી જાત જાતની અવસ્થાઓ ઊભી થાય ને જાય. તેમાં રોંગ બિલીફ ઊભી થાય છે કે ‘આ હું છું ને આ મારું છે.’ તેનાથી તેનું આ રૂપી જગત ભાસ્યમાન થાય છે. આ રહસ્ય સમજાય તો શુદ્ધાત્મા ને સંયોગ બે જ વસ્તુ છે જગતમાં. આટલું નહીં સમજાવાથી જાત જાતની જાડી ભાષામાં કર્મ, નસીબ પ્રારબ્ધ બધું કહેવું પડ્યું છે. પણ વિજ્ઞાન આટલું જ કહે છે. માત્ર સંયોગો જે છે બધા એમાંથી પર થાય તો આત્મામાં જ રહી શકે ! તો પછી કર્મ જેવું કશું જ નથી. કર્મ કેવી રીતે બંધાય ? કર્તાભાવથી કર્મ બંધાય. કર્તાભાવ કોને કહેવાય ? કરે કોઈ ને માને ‘હું કરું છું’ એનું નામ કર્તાભાવ. કર્તાભાવ શેનાથી થાય ? અહંકારથી. અહંકાર કોને કહેવાય ? જે પોતે નથી ત્યાં આરોપ કરે ‘હું’પણાનો, એનું નામ અહંકાર. આરોપિત ભાવ એનું નામ અહંકાર, ‘હું ચંદુભાઈ છું’ એવું માને છે એ જ અહંકાર છે. ખરેખર પોતે ચંદુલાલ છે ? કે ચંદુલાલ નામ છે ? નામને ‘હું’ માને છે, શરીરને ‘હું’ માને છે, હું ધણી છું, આ બધી રોંગ બિલીફો છે. ખરેખર તો પોતે આત્મા જ છે, શુદ્ધાત્મા જ છે પણ એનું ભાન નથી, જ્ઞાન નથી તેથી હું ચંદુલાલ, હું જ દેહ છું એવું માને છે. એ જ અજ્ઞાનતા છે ! અને એનાથી જ કર્મ બંધાય છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો એ છે ધર્મનો મર્મ. - શ્રીમદ્ રાજચંદ્ર જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી. - અખા ભગત ‘હું ચંદુલાલ છું’ એવું ભાન છે તેને જીવદશા કહી અને હું ચંદુલાલ નથી પણ ખરેખર હું તો શુદ્ધાત્મા છું એનું ભાન, જ્ઞાન વર્તે તેને શિવ પદ કહ્યું. પોતે જ શિવ છે, આત્મા એ જ પરમાત્મા છે અને એનો સ્વભાવ સંસારી કોઈ ચીજ કરવાનો નથી. સ્વભાવથી જ આત્મા અક્રિય છે, અસંગ છે. ‘હું આત્મા છું’ ને હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહે તેને જ્ઞાની કહ્યા અને તે પછી એકુય કર્મ નવું બંધાતું નથી. જૂનાં ડિસ્ચાર્જ કર્મ ફળ આપીને ખલાસ થયા કરે છે. કર્મબીજ ગયા ભવમાં વાવે છે, તે કર્મનું ફળ આ ભવમાં આવે છે. ત્યારે એ ફળ કોણ આપે છે ? ભગવાન ? ના. એ કુદરત આપે છે. જેને પરમ પૂજ્ય દાદાશ્રી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ- ‘વ્યવસ્થિત શક્તિ’ કહે છે. જે ચાર્જનું ડિસ્ચાર્જ નેચરલી અને ઓટોમેટીકલી થાય. એ ફળ ભોગવતી વખતે પાછો ગમો-અણગમો, રાગ-દ્વેષ અજ્ઞાનતાને કારણે કર્યા વગર રહેતો નથી. જે નવું બીજ નાખે છે. જેનું ફળ આવતા ભવે ભોગવવું પડે. જ્ઞાનીઓ નવું બીજ પડતું અટકાવે છે, જેથી પાછલાં ફળ પૂરાં થઈ મોક્ષ પદને પમાય છે ! કોઈ આપણું અપમાન કરે, નુકસાન કરે, એ તો નિમિત્ત છે, નિર્દોષ છે. કારણ વગર કાર્યમાં કેવી રીતે આવે ? પોતે અપમાન ખાવાનાં કારણો બાંધીને લાવ્યો છે તેનું ફળ, તેની ઈફેક્ટ આવીને ઊભી રહે છે ત્યારે બીજા કેટલાય દેખાતાં નિમિત્તો એમાં ભેગાં થવાં જોઈએ. એકલા બી થી જ ફળ ના પાકે પણ બધા જ નિમિત્તો ભેગાં થાય તો બીજમાંથી વૃક્ષ થાય ને ફળ ચાખવા મળે. એટલે આ જે ફળ આવે છે તેમાં બીજા નિમિત્તો વિના ફળ શી રીતે આવે ? અપમાન ખાવાનું બીજ આપણે જ વાવેલું તેનું ફળ આવે, અપમાન મળે તે માટે બીજાં નિમિત્તો ભેગાં થવાં જ જોઈએ. હવે એ નિમિત્તોને દોષિત દેખી કષાય કરી મનુષ્યો અજ્ઞાનતાથી નવાં કર્મો બાંધે છે અને જ્ઞાન હાજર રહે કે સામો નિમિત્ત જ છે, નિર્દોષ છે અને આ અપમાન મળે છે તે મારા જ કર્મનું ફળ છે, તો નવું કર્મ ના બંધાય અને એટલું મુક્ત રહેવાય અને સામો દોષિત દેખાઈ જાય તો તુર્ત જ તેને નિર્દોષ જોવો અને દોષિત જોયાના પ્રતિક્રમણ શૂટ એટ સાઈટ કરી નાખવાં, જેથી બીજ શેકાઈ જાય ને ઊગે જ નહીં. બીજાં બધાં નિમિત્ત ભેગાં થઈને પોતે નાખેલાં બીજનું ફળ આવવું ને પોતાને ભોગવવું પડે, એ આખી પ્રોસેસ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તેને જ દાદાશ્રીએ કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ’ ફળ આપે છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને પોતાના જ્ઞાનમાં અવલોકન કરીને દુનિયાને ‘કર્મનું વિજ્ઞાન’ આપ્યું છે, જે દાદાશ્રીની વાણીમાં અત્રે સંક્ષિપ્તમાં પુસ્તક રૂપે મૂક્યું છે, જે વાચકને જીવનમાં મૂંઝવતા કોયડા નામે સમાધાનકારી ઉકેલ બક્ષશે ! - ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ. ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ છે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. (પા.૧)કર્મનું વિજ્ઞાનકરીએ છીએ કે કરવું પડે છે ?દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડો ય ? એવું બને કે નહીં ? પ્રશ્નકર્તા : હા. એવું બને છે. દાદાશ્રી : લોકોને થતું હશે કે નહીં ? એનું શું કારણ ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ ? જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને ! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી તે શી રીતે આ કાર્ય કર્યું મેં ? હવે જે ઈચ્છા નથી એ કર્મ ‘મેં કર્યું,’ એ શી રીતે કહો છો ? કારણ કે જગત શાથી કહે છે એને, ‘તમે કર્મ કર્યું’ એમ ? કારણ કે દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે, લોક કહેશે કે, આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું. કોણે મોકલ્યા પૃથ્વી પર ?પ્રશ્નકર્તા : આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે ? દાદાશ્રી : કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ (પા.૨)જાય છે. ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારાં કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટાં કર્મો હોય તો ખોટી જગ્યાએ થાય. કર્મનો સિદ્ધાંત શું ?પ્રશ્નકર્તા : કર્મની વ્યાખ્યા શું ? દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને ‘હું કરું છું’ એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. ‘હું કરું છું’ એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. ‘હું કરતો નથી’ અને ‘કોણ કરે છે’ એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય. પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એટલે શું ? દાદાશ્રી : તું વાવમાં અંદર ઉતરી જઈને બોલે કે ‘તું ચોર છે.’ એટલે વાવ શું બોલે ? પ્રશ્નકર્તા : ‘તું ચોર છે.’ એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે. દાદાશ્રી : બસ, બસ. જો તને આ ના ગમતું હોય, તો આપણે કહીએ કે ‘તું બાદશાહ છે.’ એટલે એ તને ‘બાદશાહ’ કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિદ્ધાંત ! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉક્ટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન. રિએક્શન એટલે શું ? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં. એ વાવ શું કહેશે ? તે આ જગત બધું આપણો જ પ્રોજેક્ટ છે. જે તમે કર્મ કહેતા’તાને, એ પ્રોજેક્ટ છે. પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત ખરો કે નહીં ? દાદાશ્રી : આખું જગત કર્મનો સિદ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં. અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ તમારું છે. આ દેહે ય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ (પા.૩)સોલ રીસ્પોન્સીબીલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી. આપણું જ ‘પ્રોજેક્શન’વાવમાં જઈને પ્રોજેક્ટ કરે, એના ઉપરથી લોક એમ કહેશે કે બસ, પ્રોજેક્ટ કરવાની જ જરૂર છે. આપણે પૂછીએ કે શાથી આવું કહો છો ? ત્યારે કહેશે કે વાવમાં જઈને હું પહેલાં બોલ્યો હતો કે ‘તું ચોર છે.’ તો વાવે મને એમ કીધું કે ‘તું ચોર છે.’ પછી મેં પ્રોજેક્ટ ફેરવ્યો કે ‘તું રાજા છું.’ તો એણે પણ ‘રાજા’ કહ્યું. ત્યારે અલ્યા, એ પ્રોજેક્ટ તારા હાથમાં જ ક્યાં છે તે ? પ્રોજેક્ટ ફેરવો એ વાત તો સાચી છે, પણ તે પાછું હાથમાં નથી. હા, સ્વતંત્ર છેય ખરો અને નથીય ખરો. ‘નથી’ વધારે અને ‘છે’ ઓછું. એવું આ પરસત્તાવાળું જગત છે. સાચું જ્ઞાન જાણ્યા પછી સ્વતંત્ર છે, નહીં તો ત્યાં સુધી સ્વતંત્ર નથી. પણ હવે પ્રોજેક્ટ બંધ કેમ થાય ? પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જડે નહીં આમાંથી, આ બધા ભાગમાં, ‘હું આ છું કે તે છું ?’ ત્યાં સુધી ભટકવાનું છે. આ દેહ તે હું નહોય. આ આંખોય હું નહોય. અંદર બીજા બધાં બહુ સ્પેરસ્પાર્ટસ્ છે, એ બધામાં ‘હું ચંદુભાઈ છું’ એવું હજુ ભાન છે. આ સરવૈયું નથી કાઢી શકતા, એટલે એ શું જાણે છે ? આ ત્યાગ કરું છું, તે જ હું છું. એટલે ‘હું’ તો ક્યાંય ઠેકાણે ના રહ્યો એમને. એ જાણે છે કે આ તપ કરે છે, તે જ ‘હું’ છું. આ સામાયિક કરે છે, તે જ ‘હું’ છું. આ વ્યાખ્યાન કરે છે, તે જ ‘હું’ છું. ‘હું કરું છું.’ એવું ભાન છે ત્યાં સુધી નવો પ્રોજેક્ટ કર્યા કરે છે. જૂના પ્રોજેક્ટ પ્રમાણે ભોગવ્યા કરે છે. કર્મનો સિદ્ધાંત સમજતા હોય ને, તો મોક્ષનો સિદ્ધાંત જાણી જાય. રોંગ બિલીફથી કર્મ બંધનતમારું નામ શું છે ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો ? (પા.૪)પ્રશ્નકર્તા : એ કેમ કહી શકાય ? બધાને જે લાગે એ જ સાચું. દાદાશ્રી : તો પછી ખરેખર તો ચંદુભાઈ છો, નહીં ? તમને ખાત્રી નથી ? ‘માય નેમ ઈઝ ચંદુભાઈ’ બોલો છો તમે તો ? પ્રશ્નકર્તા : મને તો ખાત્રી જ છે. દાદાશ્રી : માય નેમ ઈઝ ચંદુભાઈ, નોટ આઈ. તો તમે ખરેખર ચંદુભાઈ છો કે બીજું છો ? પ્રશ્નકર્તા : એ બરાબર, કંઈક અલગ જ છીએ. એ તો હકીકત છે. દાદાશ્રી : ના. આ ચંદુભાઈ તો ઓળખવાનું સાધન છે, કે ભઈ, આ દેહવાળા, આ ભઈ, તે ચંદુભાઈ છે. તમેય એવું જાણો કે આ દેહનું નામ ચંદુભાઈ છે. પણ ‘તમે કોણ છો ?’ એ જાણવાનું નહીં ? પ્રશ્નકર્તા : એ જાણવું જોઈએ. જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાદાશ્રી : એટલે શેનાં જેવું થયું કે તમે ચંદુભાઈ નથી છતાં તમે આરોપ કરો છો, ચંદુભાઈના નામથી બધો લાભ ઉઠાવી લો છો. આ બઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં. તે લાભ ઉઠાવો છો ને તેનાં નિરંતર કર્મ બંધાયા જ કરે છે. તમે આરોપિત ભાવમાં છો, ત્યાં સુધી કર્મ બંધાયા કરે. જ્યારે ‘હું કોણ છું ?’ એ નક્કી થયા પછી તમને કર્મ બંધાય નહીં. એટલે અત્યારે ય કર્મ બંધાઈ રહ્યા છે ને રાતે ઊંઘમાં ય કર્મ બંધાય છે. કારણ કે ‘હું ચંદુભાઈ છું’ એવું માનીને ઊંઘે છે. ‘હું ચંદુભાઈ છું.’ એ તમારી રોંગ બિલીફ છે, એનાથી કર્મ બંધાય છે. ભગવાને મોટામાં મોટું કર્મ કયું કહ્યું ? રાત્રે ‘હું ચંદુભાઈ છું’ કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે મોટામાં મોટું કર્મ ! (પા.૫)કર્તાપદથી કર્મબંધનપ્રશ્નકર્તા : કર્મ શાથી બંધાય છે ? હજુ જરા વધુ સમજાવો., દાદાશ્રી : કર્મ શાથી બંધાય છે, એ તમને કહું ? કર્મ તમે કરતા નથી છતાંય તમે માનો છો કે ‘હું કરું છું.’ માટે બંધન તમારું જતું નથી. ભગવાન પણ કર્તા નથી. ભગવાન કર્તા હોત તો એમને બંધન થાત. એટલે ભગવાન કર્તા નથી ને તમેય કર્તા નથી. પણ તમે માનો છો ‘હું કરું છું.’ તેથી કર્મ બંધાય છે. કોલેજમાં પાસ થયા, તે બીજી શક્તિને આધારે થાય છે ને તમે કહો છો કે હું પાસ થયો. એ આરોપિત ભાવ છે. તેનાથી કર્મ બંધાય છે. વેદાંતે પણ સ્વીકાર્યો નિરીશ્વરવાદપ્રશ્નકર્તા : તો પછી કોઈ શક્તિથી થતું હોય, તો કોઈ ચોરી કરે તો એ ગુનો નહીં અને કોઈ દાન આપે તો એ પણ, બધું સરખું જ કહેવાય ને ! દાદાશ્રી : હા. સરખું જ કહેવાય, પણ તે પાછું સરખું રાખતા નથી. દાન આપનાર આમ છાતી કાઢીને ફરે છે, એટલે તો બંધાયો અને ચોરી કરનારો કહે છે, ‘મને કોઈ પકડે જ નહીં, ભલભલાની ચોરી કરું.’ એટલે મૂઓ એ બંધાયો. ‘મેં કર્યું’ એવું કહે નહીં, તો કશું અડે નહીં. પ્રશ્નકર્તા : એવી એક માન્યતા છે કે પ્રાથમિક કક્ષામાં આપણે એમ માનીએ છીએ કે ઇશ્વર કર્તા છે. આગળ જતાં નિરીશ્વરવાદ સિવાય, વેદમાંય કંઈ છે નહીં. ઉપનિષદમાં પણ નિરીશ્વરવાદ જ છે. ઇશ્વર કર્તા નથી, કર્મનાં ફળ દરેકને ભોગવવાં પડે છે. હવે એ કર્મનાં ફળ ભવોભવનાં ચાલ્યા કરતાં હશે ? દાદાશ્રી : હાસ્તોને, કર્મનું એવું છે ને આ કેરીમાંથી આંબો અને આંબામાંથી કેરી, કેરીમાંથી આંબો ને આંબામાંથી કેરી ! (પા.૬)પ્રશ્નકર્તા : એ તો ઉત્ક્રાંતિનો નિયમ થયો, એ તો થયા જ કરવાનું. દાદાશ્રી : ના, એ જ કર્મફળ. એ કેરી ફળરૂપે આવી, તે ફળમાંથી બી પડે ને પાછું ઝાડ થાય ને ઝાડમાં પાછું ફળ થાય ને ! એ ચાલ્યા જ કરવાનું, કર્મમાંથી કર્મબીજ પડ્યા જ કરે. પ્રશ્નકર્તા : તો પછી એ શુભ-અશુભ કર્મ બંધાયા જ કરે, છૂટે જ નહીં. દાદાશ્રી : હા, ઉપર ગર્ભ ખાઈ લે અને ગોટલો પાછો પડે. પ્રશ્નકર્તા : એ તો ફરી ત્યાં આંબો ઉત્પન્ન થાય. દાદાશ્રી : છૂટે જ નહીં ને ! જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા શું કામ માનો છો ? આ તો પાછો પોતે હઉ કર્તા થઈ બેસે છે ! મનુષ્ય એકલો જ એવો છે કે જે ‘હું કર્તા છું’ એવું ભાન ધરાવે છે, અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, ‘ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.’ પછી ભગવાનને ને તમારે શું લેવાદેવા ? પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો એ કર્મનો કર્તા ના માને તો કર્મનો વિલય થાય છે. આ છે મહાભજનનો મર્મતેથી અખા ભગત બોલ્યા કે, જો તું જીવ તો કર્તા હરિ; જો તું શીવ તો વસ્તુ ખરી! એટલે જો ‘તું શુદ્ધાત્મા’ તો સાચી વાત છે. અને જો ‘જીવ છું’, તો ઉપર કર્તા હરિ છે. અને જો ‘તું શીવ છું’ તો વસ્તુ ખરી છે. ઉપર (પા.૭)હરિ નામનું કોઈ છે જ નહીં. એટલે જીવ-શીવનો ભેદ ગયો. એ પરમાત્મા થવાની તૈયારી થઈ. આ બધાય ભગવાનને ભજે, એ જીવ-શીવનો ભેદ છે અને આપણે અહીં આ જ્ઞાન મળ્યા પછી જીવ-શિવનો ભેદ ગયો. કર્તા છૂટે તો છૂટે કર્મ; એ છે મહાભજનનો મર્મ! ચાર્જ ક્યારે થાય કે ‘હું ચંદુભાઈ છું અને આ મેં કર્યું.’ એટલે જે ઊંધી માન્યતા છે તેનાથી કર્મ બંધાયું. હવે આત્માનું જ્ઞાન મળે તો ‘તમે’ ચંદુભાઈ નથી. ચંદુભાઈ તો વ્યવહારથી, નિશ્ચયથી ખરેખર નહીં અને આ ‘મેં કર્યું’ તે વ્યવહારથી. એટલે કર્તાપણું મટી જાય તો કર્મ પછી છૂટે, કર્મ બંધાય નહીં. ‘હું કર્તા નથી’ એ ભાન થયું, એ શ્રદ્ધા બેઠી, ત્યારથી કર્મ છૂટ્યાં, કર્મ બંધાતાં અટકયાં. એટલે ચાર્જ થતાં બંધ થઈ ગયાં. એ છે મહાભજનનો મર્મ. મહાભજન શેને કહેવાય ? સર્વશાસ્ત્રોના સારને મહાભજન કહેવાય. એ મહાભજનનોય સાર છે. કરે તે જ ભોગવેપ્રશ્નકર્તા : આપણા શાસ્ત્રો એમ કહે છે કે દરેકને કર્મ પ્રમાણે ફળ મળે છે ! દાદાશ્રી : એ તો પોતે પોતાનો જ જવાબદાર છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો જ નથી. બાકી, આ જગતમાં તમે સ્વતંત્ર જ છો. ઉપરી કોણ છે? તમારે અન્ડરહેન્ડની ટેવ છે એટલે તમારે ઉપરી મળે છે, નહિ તો તમારો કોઈ ઉપરી નથી ને તમારો કોઈ અન્ડરહેન્ડ નથી, એવું આ વર્લ્ડ (જગત) છે ! આ તો સમજવાની જરૂર છે, બીજું કશું છે નહિ. આખા વર્લ્ડમાં બધે ફરી આવ્યો, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ ઉપરીપણું હોય. ભગવાન નામનો કોઈ તમારો ઉપરી છે નહિ. તમારા જોખમદાર તમે પોતે જ છો. આખા વર્લ્ડના લોકો માને છે કે (પા.૮)જગત ભગવાને બનાવ્યું. પણ જે પુનર્જન્મનો સિદ્ધાંત સમજે છે એણે એવું ન માની શકાય કે ભગવાને બનાવ્યું છે. પુનર્જન્મ એટલે શું કે ‘હું કરું છું અને હું ભોગવું છું. અને મારાં જ કર્મનાં ફળ ભોગવું છું. આમાં ભગવાનની આડખીલી જ નથી.’ પોતે જે કરે છે, પોતાની જવાબદારી પર જ આ બધું કરવામાં આવે છે. કોની જવાબદારી પર છે આ, સમજાયું ને ? પ્રશ્નકર્તા : આજ સુધી એમ સમજતો હતો કે ભગવાનની જવાબદારી છે. દાદાશ્રી : ના. પોતાની જ જવાબદારી છે ! હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી પોતાની છે, પણ પેલા માણસને ગોળી કેમ મારી ? એ રિસ્પોન્સીબલ હતા. તેનું આ ફળ મળ્યું અને એ મારનાર રિસ્પોન્સીબલ થશે, ત્યારે એનું ફળ મળશે. એ ટાઈમ થશે ત્યારે પાકશે. જેમ કેરી આજે થઈ, તે આજ ને આજ કેરી લાવીને પછી એનો રસ ના નીકળે. એ તો ટાઈમ થાય, મોટી થાય, પાકે, ત્યારે એ રસ નીકળે. એવી રીતે આ ગોળી વાગીને, તે પહેલાં પાકીને તૈયાર થાય ત્યારે વાગે. એમ ને એમ ના વાગે. અને પેલાએ ગોળી મારી તેને જ આવડી નાની કેરી થયેલી છે, એ મોટી થયા પછી પાકશે. ત્યાર પછી એનો રસ નીકળશે. કર્મબંધન, આત્માને કે દેહને ?પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ? દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. ‘હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.’ માને છે, તેને બંધન છે. (પા.૯)પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ? દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. ‘તમે છો શુદ્ધાત્મા’ પણ બોલો છો કે ‘હું ચંદુભાઈ છું.’ જ્યાં પોતે નથી, ત્યાં આરોપ કરવો કે ‘હું છું.’ તે અહંકાર કહેવાય છે. પારકાના સ્થાનને પોતાનું સ્થાન માને છે, એ ઈગોઈઝમ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય. ત્યાં બંધન છે જ નહીં. કર્મ અનાદિથી આત્માસંગેપ્રશ્નકર્તા : તો કર્મ વગરની આત્માની સ્થિતિ થતી હશે ને ? તે ક્યારે થાય ? દાદાશ્રી : એક પણ સંજોગોની વળગણાં ના હોય ને, એને કર્મ વળગે જ નહિ કોઈ દહાડોય. જેને વળગણાં કોઈ પણ પ્રકારની હોય નહિ, તેને કોઈ પણ પ્રકારનો એવો કર્મોનો હિસાબ નથી કે એને કર્મ વળગે. અત્યારે સિદ્ધગતિમાં જે સિદ્ધ ભગવંતો છે એમને કોઈ જાતનાં કર્મ વળગે નહિ. વળગણાં ખલાસ થઈ ગઈ કે વળગે નહિ. આ તો સંસારમાં વળગણાં ઊભી થઈ છે અને તે અનાદિ કાળની કર્મની વળગણાં છે. અને તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે એ બધું. બધાં તત્ત્વો ગતિમાન થયા કરે છે ને તત્ત્વો ગતિમાન થવાથી જ આ બધું ઊભું થયું છે. આ બધી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એનાથી આ બધા વિશેષ ભાવ ઉત્પન્ન થયા છે. ભ્રાંતિ એટલે જ વિશેષભાવ. એનો મૂળ જે સ્વભાવ હતો, તેના કરતાં વિશેષભાવ ઉત્પન્ન થયો અને તેને લઈને આ બધો ફેરફાર થયો છે. એટલે પહેલાં કંઈ આત્મા કર્મ વગરનો હતો, એવું ક્યારેય બન્યું નથી. એટલે એ જ્યારે જ્ઞાની પુરુષની પાસે આવે છે ત્યારે ઘણો ખરો કર્મનો બોજો હલકો થયો હોય છે અને (પા.૧૦)હળુકર્મી થયેલો હોય છે. હળુકર્મી છે ત્યારે તો જ્ઞાની પુરુષ ભેગા થાય. ભેગા થાય તેય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પોતાના પ્રયત્નથી જ કરવા જાય તો એવું થાય જ નહિ. સહજ પ્રયત્નો, સહજાસહજ મળી જાય, ત્યારે કામ થઈ જાય. કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે. સંબંધ, આત્મા ને કર્મ તણા...પ્રશ્નકર્તા : તો આત્મા અને કર્મ, એની વચ્ચે સંબંધ શું છે ? દાદાશ્રી : બેઉની વચ્ચે કર્તારૂપી આંકડો ના હોય તો બેઉ છૂટા પડી જાય. આત્મા, આત્માની જગ્યાએ અને કર્મ, કર્મની જગ્યાએ છૂટાં પડી જાય. પ્રશ્નકર્તા : સમજાયું નહીં બરોબર. દાદાશ્રી : કર્તા ના બને તો કર્મ છે નહિ. કર્તા છે તો કર્મ છે. કર્તા ના હોય ને, તમે આ કાર્ય કરતા હોય ને, તોય તમને કર્મ બંધાય નહીં. આ તો કર્તાપદ છે તમને, ‘મેં કર્યું.’ તેથી બંધાયું. પ્રશ્નકર્તા : તો કર્મ જ કર્તા છે ? દાદાશ્રી : ‘કર્તા’ એ કર્તા છે. ‘કર્મ’ એ કર્તા નથી. તમે ‘મેં કર્યું’ કહો છો કે ‘કર્મે કર્યું’ કહો છો ? પ્રશ્નકર્તા : ‘હું કરું છું’ એવું તો મહીં રહે છે જ ને ! ‘મેં કર્યું’ એમ જ કહીએ છીએ. દાદાશ્રી : હા, એ ‘કર્તા’ ‘હું કરું છું’ એમ કહો છો તેથી તમે કર્તા થાવ છો. બાકી ‘કર્મ’ કર્તા નથી. ‘આત્મા’ ય કર્તા નથી. પ્રશ્નકર્તા : કર્મ એક બાજુ છે ને આત્મા એક બાજુ છે. તો આ બેને જુદા કઈ રીતે પાડવા ? દાદાશ્રી : જુદા જ છે. આ આંકડો નીકળી જાય ને તો, પણ આ (પા.૧૧)તો કર્તાપદનો આંકડો જ છે. આ આંકડાને લીધે બંધાયેલું લાગે છે. કર્તાપદ ગયું, કર્તાપદ કરનારો ગયો, ‘મેં કર્યું’ એવું બોલનારો ગયો તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. બે છૂટ્ટા જ છે પછી તો. કર્મ બંધાય એ તો અંતઃક્રિયાપ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ? દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું કશું કરતા જ નથી. મનુષ્યનો અહંકાર એવો છે કે ખાતો નથી, પીતો નથી, સંસાર કરતો નથી, વેપાર કરતો નથી તો ય માત્ર અહમ્કાર જ કરે છે કે ‘હું કરું છું’, તેથી બધા કર્મો બાંધ્યા કરે છે. એ ય અજાયબી છે ને ? એ પ્રુવ (સાબિત) થઈ શકે એમ છે ! ખાતો નથી, પીતો નથી એ પ્રુવ થઈ શકે એમ છે. છતાંય કર્મો કરે છે એ પણ પ્રુવ થઈ શકે છે. તે મનુષ્ય એકલા જ કર્મ બાંધે છે. પ્રશ્નકર્તા : શરીરને લીધે ખાતા-પીતા હોય, પણ છતાં પોતે કર્મ ના પણ કરતા હોય ને ? દાદાશ્રી : એવું છે ને, કોઈ માણસ કર્મ કરતો હોય ને તો આંખે દેખાય નહીં. દેખાય છે તમને ? આ જે આંખે દેખાય છે ને, એને આપણા જગતના લોકો કર્મ કહે છે. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આણે આને માર્યો, એવું કર્મ બાંધ્યું. હવે જગતના લોકો એવું જ કહે છે ને ? પ્રશ્નકર્તા : હા, જેવું દેખાતું હોય એવું કહે. દાદાશ્રી : કર્મ એટલે એમની હિલચાલ શું થઈ, એને ગાળ દીધી તોય કર્મ બાંધ્યું, એને માર્યો તોય કર્મ બાંધ્યું. ખાધું તોય કર્મ બાંધ્યું. સૂઈ ગયો તોય કર્મ બાંધ્યું, હિલચાલ શું કરે છે, એને આપણા લોકો કર્મ કહે છે. પણ હકીકતમાં દેખાય છે એ કર્મફળ છે, એ કર્મ નથી. કર્મ બંધાય ત્યારે અંતરદાહ બળ્યા કરે. નાનાં છોકરાંને કડવી દવા (પા.૧૨)પીવડાવો, ત્યારે શું કરે ? મોઢું બગાડે ને ! અને ગળી ખવડાવીએ તો ? ખુશ થાય. આ જગતમાં જીવમાત્ર રાગ-દ્વેષ કરે છે એ કૉઝ છે બધા અને તેમાંથી આ કર્મો ઊભાં થયાં છે. જે પોતાને ગમે છે એ અને ના ગમતાં, એ બેઉ કર્મ આવે છે. ના ગમતાં કૈડીને જાય. એટલે દુઃખ આપીને જાય અને ગમતાં સુખ આપીને જાય. એટલે કૉઝીઝ ગયા અવતારે થયેલા છે, તે આ ભવમાં ફળ આપે છે. કર્મબીજના નિયમોપ્રશ્નકર્તા : કર્મબીજની એવી કોઈ સમજણ છે કે આ બીજ પડશે ને આ નહીં પડે ? દાદાશ્રી : હા, તમે કહો કે ‘આ નાસ્તો કેવો સરસ થયો છે, તે મેં ખાધું.’ તો બીજ પડ્યું. ‘મેં ખાધું’ બોલવામાં વાંધો નથી. ‘કોણ ખાય છે, તે તમારે જાણવું જોઈએ કે હું નથી ખાતો, ખાનારો ખાય છે. પણ આ તો પોતે કર્તા થાય અને કર્તા થાય તો જ બીજ પડે. ગાળો ભાંડે તો એની પર દ્વેષ નહીં, ફૂલ ચઢાવે કે ઊંચકીને ફરે તો એની પર રાગ નહીં, તો કર્મ ના બંધાય એને. પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ થાય અને ખબર ના પડે, એનો ઉપાય શો ? દાદાશ્રી : આ ઈનામ મળે છે તે, આવતા ભવનું ભટકવાનું ચાલુ જ રહે એનું. સંબંધ, દેહ ને આત્માનો...પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ વધુ વિગતથી સમજાવો ને ? દાદાશ્રી : આ દેહ છે તે આત્માની અજ્ઞાનતાથી ઊભું થયેલું પરિણામ છે. જે જે ‘કૉઝીઝ’ કર્યાં, તેની આ ‘ઈફેક્ટ’ છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ, અને તમને ગાળ દે એટલે તમે (પા.૧૩)ચીઢાઈ જાવ. તે ચીઢાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતર-ભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવે ડિસ્ચાર્જ થાય છે, તે વખતે તે ‘ઈફેક્ટિવ’ છે. આ મન-વચન-કાયા ત્રણેય ‘ઈફેક્ટિવ’ છે. ‘ઈફેક્ટ’ ભોગવતી વખતે બીજા નવાં કૉઝીઝ ઊભાં થાય છે. જે આવતા ભવે પાછાં ‘ઈફેક્ટિવ’ થાય છે. આમ ‘કૉઝીઝ’ એન્ડ ‘ઈફેક્ટ’, ‘ઈફેક્ટ’ એન્ડ કૉઝીઝ એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.એટલે ફોરેનના સાયન્ટિસ્ટોનેય સમજાય કે ભઈ આ રીતે પુનર્જન્મ છે. એટલે બહુ ખુશ થઈ જાય છે કે ઈફેક્ટ એન્ડ કૉઝીઝ છે આ ! તે આ બધી ઈફેક્ટ છે. તમે વકીલાત કરો, એ બધી ઈફેક્ટ છે. ઈફેક્ટમાં અહંકાર ના કરાય કે ‘મેં કર્યું.’ ઈફેક્ટ તો એની મેળે જ આવે. આ પાણી નીચે જાય, એ પાણી એમ ના બોલે કે ‘હું જઉં છું’, તે દરિયા તરફ ચારસો માઈલ આમ તેમ ચાલીને જાય જ છે ને ! અને મનુષ્યો તો કોઈનો કેસ જીતાડી આપે તો ‘મેં કેવો જીતાડી આપ્યો’, બોલે. હવે એનો પોતે અહંકાર કર્યો, તે કર્મ બંધાયું, કૉઝ થયું. એનું ફળ પાછું ઈફેક્ટમાં આવશે. કારણ-કાર્ય તણાં રહસ્યોઈફેક્ટ તમે સમજી ગયા ? એની મેળે થયા જ કરે તે ઈફેક્ટ. આપણે પરીક્ષા આપીએ ને, એ કૉઝ કહેવાય. પછી પરિણામની ચિંતા આપણે કરવાની ન હોય. એ તો ઈફેક્ટ છે. તે જગત આખું ઈફેક્ટની ચિંતા કરે છે. ખરેખર તો કૉઝ માટે ચિંતા કરાય ! આ વિજ્ઞાન તને સમજાયું ? વિજ્ઞાન સૈદ્ધાંતિક હોય. અવિરોધાભાસ હોય. તેં બીઝનેસ કર્યો ને બે લાખ કમાયો, તે કૉઝ છે કે ઈફેક્ટ ? પ્રશ્નકર્તા : કૉઝીઝ છે. દાદાશ્રી : કેવી રીતે કૉઝીઝ તે મને સમજાવ ? ધાર્યા પ્રમાણે કરી શકે ? પ્રશ્નકર્તા : તમે બીઝનેસ કરો અને જે થવાનું છે એ થવાનું છે, (પા.૧૪)એ ઈફેક્ટ થાય. પણ બીઝનેસ કરવા માટે કૉઝીઝ તો કરવાં પડે ને ? તો બીઝનેસ કરી શકીએને ? દાદાશ્રી : ના, કૉઝીઝમાં રિલેટિવ વસ્તુ ના વપરાય બીજી. બીઝનેસ તો શરીર સારું હોય, મગજ સારું હોય, બધું હોય ત્યારે થાય ને ! બધાના આધારે જે થતું હોય, એ ઈફેક્ટ અને જે માણસ સૂતો સૂતો ‘આનું ખરાબ થશે, આમ થશે.’ એ કરે એ બધું કૉઝીઝ. કારણ કે એમાં આધાર કે કોઈ ચીજની જરૂર નથી. પ્રશ્નકર્તા : આપણે જે બીઝનેસ કરીએ છીએ, તો એ ઈફેક્ટ કહેવાય ? દાદાશ્રી : ઈફેક્ટ જ કહીએ છીએ ને ! બીઝનેસ એ ઈફેક્ટ જ છે. પરીક્ષાનું પરિણામ આવે, એમાં કશું કરવું પડે ? પરીક્ષામાં કરવું પડે, એ કૉઝીઝ કહેવાય. કંઈ કરવું પડે, તે પણ પરિણામમાં કંઈ કરવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એમ આમાં કંઈ કરવું ના પડે. એ બધું થયા જ કરે. આપણું શરીર બધું વપરાય અને થયા જ કરે, કૉઝમાં તો પોતાને કરવું પડે. કર્તાભાવ છે એ કૉઝ છે. બીજું બધું ઈફેક્ટ છે. ભોક્તાભાવ એ કૉઝ છે. પ્રશ્નકર્તા : જે ભાવ એ બધા કૉઝીઝ, બરાબર. દાદાશ્રી : હં. જ્યાં બીજા કોઈની હેલ્પની જરૂર નહીં. તમે રસોઈ બનાવો ફર્સ્ટ કલાસ, તે બધી જ ઈફેક્ટ છે. અને એની મહીં તમે ભાવ કરો કે ‘કેવી સરસ રસોઈ મેં બનાવી, કેવી સરસ બનાવી.’ એ ભાવ તમારો કૉઝ. જો ભાવ ન કરો તો બધું ઈફેક્ટ જ છે. સાંભળી શકાય, દેખી શકાય, એ બધી ઈફેક્ટ. કૉઝીઝ દેખી ના શકાય. પ્રશ્નકર્તા : તો પાંચ ઈન્દ્રિયથી જે બધું થાય એ ઈફેક્ટ ? (પા.૧૫)દાદાશ્રી : હા, એ બધી ઈફેક્ટ છે. આખી લાઈફ જ ઈફેક્ટ છે. એની મહીં જે ભાવ થાય છે એ ભાવ કૉઝ છે અને ભાવનો કર્તા હોવો જોઈએ. એ તો કર્તા છે જગતના લોકો. કર્મ બંધાતાં અટકી ગયાં એટલે થઈ ગયું. એવું તમને સમજાય ખરું ! તમને કર્મ બંધાતાં અટકતાં હશે ? કોઈ દહાડો જોયું છે એ ? શુભમાં પડો તો શુભ બંધાય, નહીં તો અશુભ તો હોય છે જ. કર્મ છોડે જ નહીં ! અને ‘પોતે કોણ છે, આ બધું કોણ કરે છે’ તે બધું જાણે, પછી કર્મ બંધાય જ નહીં ને ! પહેલું કર્મ કેવી રીતે આવ્યું ?પ્રશ્નકર્તા : કર્મની થીયરી મુજબ કર્મ બંધાય અને એનો ભોગવટો કરવો પડે. હવે એ રીતે આપણે કૉઝ અને ઈફેક્ટ કહ્યા તો એ પહેલું કૉઝ પછી એની ઈફેક્ટ, તો આપણે તર્કની દ્રષ્ટિએ વિચાર કરીએ અને પાછા જતા જઈએ તો સહુ પ્રથમ કૉઝ કેવી રીતે આવ્યું હશે ? દાદાશ્રી : અનાદિમાં પહેલું ના હોય ને ! આ માળા તમે જોયેલી ગોળ ? આ સૂર્યનારાયણ ફરે તો એની બિગિનિંગ ક્યાંથી કરતા હશે ? પ્રશ્નકર્તા : એને બિગિનિંગ હોય જ નહીં. દાદાશ્રી : એટલે આ દુનિયાની બિગિનિંગ કોઈ જગ્યાએ છે નહીં. બધી જ ગોળ છે, રાઉન્ડ જ છે. આમાં છુટકારો છે પણ. બિગિનિંગ નથી આનું ! આત્મા છે એટલે છુટકારો થઈ શકે છે. પણ એની બિગિનિંગ નથી. રાઉન્ડ છે બધું ય, હરેક ચીજ રાઉન્ડ. કોઈ ચીજ ચોરસ નથી. ચોરસ હોય તો આપણે એને કહીએ કે આ ખૂણેથી શરૂ થયું છે અને આ ખૂણે ભેગું થયું. રાઉન્ડમાં ક્યો ખુણો ? આખું જગત જ રાઉન્ડ છે એમાં બુદ્ધિ કામ કરી શકે એમ નથી. માટે બુદ્ધિને કહીએ, બેસ છેટી, બુદ્ધિ પહોંચી વળે એમ નથી. જ્ઞાનથી સમજાય એવું છે. ઇંડું પહેલું કે મુરઘી પહેલી. મૂઆ મેલને પૂળો. અહીંથી એ બાજુએ મૂકીને બીજી આગળની વાત કરને ! નહીં તો ઇંડા ને મરઘું થવું પડશે (પા.૧૬)વારેઘડીએ અને છોડે નહીં મૂઓ. જેનું સમાધાન ના હોય એ બધું ગોળ. તે આપણાં લોક નહીં કહેતાં, ગોળ ગોળ વાત કરે છે આ ભઈ ! પ્રશ્નકર્તા : છતાં આ પ્રશ્ન રહ્યા જ કરે કે જન્મ પહેલાં કર્મ ક્યાંથી ? ચોરાસી લાખ ફેરા શરૂ થયા. આ પાપ-પુણ્ય ક્યાંથી ક્યારથી શરૂ થયું ? દાદાશ્રી : અનાદિથી. પ્રશ્નકર્તા : એની શરૂઆત તો કંઈક હોય ને ? દાદાશ્રી : જ્યારથી બુદ્ધિ શરૂ થઈને ત્યાંથી શરૂઆત અને બુદ્ધિ એન્ડ થાય ત્યાં પૂરું થઈ જાય. સમજ પડીને ? બાકી છે અનાદિથી ! પ્રશ્નકર્તા : આ જે બુદ્ધિ છે તે કોણે આપી ? દાદાશ્રી : આપનારું જ કોણ છે ? કોઈ જ ઉપરી જ નથી ને ! કોઈ છે નહીંને, બીજો કોઈ. કોઈ આપનાર હોય તો તો ઉપરી ઠર્યો. ઉપરી ઠર્યો એટલે કાયમ એ આપણે માથે રહ્યો. પછી મોક્ષ હોય જ નહીં, દુનિયામાં. ઉપરી હોય ત્યાં મોક્ષ હોતો હશે ? પ્રશ્નકર્તા : પણ સૌથી પહેલું કર્મ કયું થયું ? જેને લીધે આ શરીર મળ્યું ? દાદાશ્રી : આ શરીર તો કોઈએ આપ્યું નથી. આ છ તત્ત્વો બધાં ભેગાં થવાથી, એ આમ સામસામે જોઈન્ટ થવાથી ‘એને’ આ બધી અવસ્થા ઉત્પન્ન થઈ છે. તે શરીર મળ્યું ય નથી. આ તો તમને દેખાય છે તે જ ભૂલ છે. ભ્રાંતિથી દેખાય છે. આ ભ્રાંતિ જાયને, તો કશું ય નહીં હોય. આ તમે જે ‘હું ચંદુભાઈ છું’ એવું જાણો છો. તેથી આ ઉભું થયું છે બધું. કર્મો એક કે અનેક ભવના ?પ્રશ્નકર્તા : આ બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી. એટલે અનેક જન્મો લેવા પડે છેને એને ભોગવવા માટે ? જ્યાં (પા.૧૭)સુધી કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે ? દાદાશ્રી : મોક્ષની તો વાત ક્યાં ગઈ, એ ભવનાં કર્મ જ્યારે પૂરાં થાય ત્યારે દેહ છૂટે. અને ત્યારે મહીં બીજા નવાં કર્મ બંધાઈ જ ગયેલાં હોય. એટલે મોક્ષની તો વાત જ ક્યાં કરવી રહી ? જૂનાં, બીજાં કંઈ પાછલાં કર્મો નથી આવતાં. તમે અત્યારે હઉ કર્મો બાંધી રહ્યાં છો. અત્યારે તમે આ વાત કરો છો ને તે ઘડીએ પણ પુણ્યકર્મ બાંધી રહ્યા છો. પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધી રહ્યા છો. કરે કોણ ને ભોગવે કોણ ?પ્રશ્નકર્તા : દાદા, ગયા ભવમાં જે કર્મ કર્યાં એ આ ભવમાં ભોગવવાં પડે, તો ગયા ભવની અંદર જે દેહે ભોગવેલાં એ તો લાકડામાં ગયો, આત્મા તો નિર્વિકાર સ્વરૂપ છે, એ આત્મા બીજો દેહ લઈને આવે છે, પણ આ દેહને ગયા દેહનું કરેલું કર્મ શા માટે ભોગવવાનું ? દાદાશ્રી : એ દેહનાં કરેલાં કર્મો તો એ દેહ ભોગવીને જ જાય. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : આ તો ચીતરેલાં, એ માનસિક કર્મ. સૂક્ષ્મ કર્મો. એટલે જેને આપણે કોઝલ બોડી કહીએ છીએને, કૉઝીઝ. પ્રશ્નકર્તા : બરોબર છે, પણ એ દેહે ભાવ કરેલા ને ? દાદાશ્રી : દેહે ભાવ નથી કર્યા. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : દેહે તો એનું પોતે ફળ ભોગવ્યું ને ! બે ધોલો મારી એટલે દેહને ફળ મળી જ જાય. પણ એને યોજનામાં હતું, તે આ રૂપકમાં આવ્યું. પ્રશ્નકર્તા : હા, પણ યોજના કરી કોણે ? પેલા દેહે યોજના કરીને ? (પા.૧૮)દાદાશ્રી : દેહને તો લેવા-દેવા નહીં ને ! બસ, અહંકાર જ કરે છે આ બધું. આ જન્મનું આ જન્મમાં ?પ્રશ્નકર્તા : આ બધાં કર્મોનાં ફળ આપણા આ જીવનમાં જ ભોગવવાનાં કે પછી આવતા જન્મમાં પણ ભોગવવાં પડે છે ? દાદાશ્રી : ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતા. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલા કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય. એટલે ગયા અવતારે કર્મ બાંધ્યા, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું. આણે આ માણસને બે ધોલ મારી દીધી, એને જગતના લોક શું કહે ? કર્મ બાંધ્યું એણે. કયું કર્મ બાંધ્યું ? ત્યારે કહે, બે ધોલ મારી દીધી. એને એનું ફળ ભોગવવું પડશે. તે અહીં પાછું મળે જ. કારણ કે ધોલો મારી, પણ આજે પેલો ઢીલો પડી ગયો, પણ ફરી તાલ આવે એટલે વેર વાળ્યા વગર રહે નહીં ને ! ત્યારે લોકો કહે કે જો કર્મનું ફળ ભોગવ્યુંને છેવટે ! તે આનું નામ અહીં ને અહીં ફળ ભોગવ્યું. પણ આપણે એને કહીએ કે તારી વાત સાચી છે. આનું ફળ ભોગવવાનું, પણ એ બે ધોલો કેમ મારી એણે ? એ શા આધારે ? એ આધાર એને જડે નહીં. એ તો એણે જ મારી કહેશે. એ ઉદયકર્મ એની પાસે નચાવડાવે આ. એટલે આગળ કર્મ કર્યું છે, તે નચાવડાવે છે. પ્રશ્નકર્તા : એ જે ધોલ મારી એ કર્મનું ફળ છે, કર્મ નથી, એ બરોબર ને ? દાદાશ્રી : હા, એ કર્મફળ છે. એટલે ઉદયકર્મ આ એને કરાવડાવે છે અને એ બે ધોલ મારી દે છે. પછી પેલો માર ખાનાર શું કહે, કે ‘ભઈ, બીજી એક-બે આપને !’ ત્યારે કહે, ‘હું કંઈ અક્કલ વગરનો (પા.૧૯)મૂર્ખો છું !’ ઊલટો વઢે. પેલો માર્યો તે, એનું કારણ છે, બેનો હિસાબ હોય ને તે હિસાબની બહાર થાય નહીં કશું ય. એટલે આ જગત એવું છે કે હિસાબ વસ્તુ એક આના પઈ સાથેનો હિસાબ છે. એટલે ભડકવા જેવું આ જગત જ નથી, બિલકુલેય નિરાંતે સૂઈ જવા જેવું છે. તેમ છતાં બિલકુલ એવું નહીં થઈ જવું જોઈએ નીડર કે મને કશું નહીં થાય. કર્મફળ - લોકભાષામાં, જ્ઞાનીની ભાષામાંપ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે એમ કહે છે, તે શું ખોટું છે ? દાદાશ્રી : ભોગવવાનું અહીંનું અહીં જ છે પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ? ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતા હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, ‘આ કર્મ બાંધે છે, આ આવું માન કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં તો આ કર્મનું ફળ આવ્યું છે. ફળ એટલે માન ના કરવું હોય તોય કરવું જ પડે, થઈ જ જાય. અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય, તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે માન ઓગાળવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેના હિસાબે આવતે ભવ પાછું માન ઓછું થાય. કર્મની થિયરી આવી છે. ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે ‘આવું (પા.૨૦)કરવા જેવું જ છે.’ તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો ! આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય છે. ...કે આ જન્મનું આવતા જન્મમાં ?પ્રશ્નકર્તા : તો આ જન્મમાં કરેલાં કર્મોનું ફળ શું આવતા જન્મમાં મળી શકે ? દાદાશ્રી : હા, આ ભવમાં ના મળે. પ્રશ્નકર્તા : તો અત્યારે જે આપણે ભોગવીએ છીએ, એ ગયા જન્મનું ફળ છે ? દાદાશ્રી : હા. આગલા અવતારનું છે અને જોડે જોડે નવાં કર્મ આવતા અવતાર માટે બંધાઈ રહ્યાં છે. એટલે નવાં કર્મ તમારે સારાં કરવાં જોઈએ. આ તો બગડ્યું છે પણ આવતું ના બગડે, એટલું જોતું રહેવાનું. પ્રશ્નકર્તા : અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અત્યારે માણસ સારાં કર્મો તો કરી શકતો નથી, કળિયુગના પ્રભાવથી. દાદાશ્રી : સારા કર્મોની જરૂર નથી. પ્રશ્નકર્તા : તો શેની જરૂર છે ? દાદાશ્રી : મહીં સદ્ભાવનાની જરૂર છે. સારાં કર્મો તો પ્રારબ્ધ સારું હોય તો થઈ શકે. નહીં તો થઈ શકે નહીં. પણ સારી ભાવના તો થઈ શકે, પ્રારબ્ધ સારું ના હોય તોય. ખોટા કર્મનું ફળ ક્યારે ?પ્રશ્નકર્તા : સારાં અને ખોટાં કર્મનું ફળ આ જ જન્મમાં કે (પા.૨૧)આવતા જન્મમાં ભોગવવું પડે છે, તો તેવા જીવો મોક્ષગતિને કઈ રીતે પામે ? દાદાશ્રી : કર્મનાં ફળ નુકસાન કરતાં નથી. કર્મનાં બીજ નુકસાન કરે છે. મોક્ષે જતાં કર્મબીજ પડતાં બંધ થઈ ગયાં તો કર્મફળ એને આંતરે નહીં, કર્મબીજ આંતરે. બીજ શાથી આંતરે ? કે તેં નાખ્યું એટલે હવે એનો સ્વાદ તું લઈને જા, એનું ફળ ચાખીને જા. એ ચાખ્યા વગર જવાય નહીં. એટલે એ આંતરનાર છે, બાકી આ કર્મફળ આંતરતાં નથી. ફળ તો કહે છે તું તારી મેળે ખાઈને ચાલ્યો જા. પ્રશ્નકર્તા : પણ આપશ્રીએ કહ્યું હતું કે એક ટકો પણ કર્મ કર્યું હોય તો તે ભોગવવું જ પડે છે ? દાદાશ્રી : હા, ભોગવે જ છૂટકો, ભોગવ્યા વગર ચાલે નહીં. કર્મનાં ફળ ભોગવતાંય મોક્ષ થાય એવો રસ્તો હોય છે. પણ કર્મ બાંધતી વખતે મોક્ષ ના થાય. કારણ કે એ કર્મ બાંધતા હોય તો હજુ ફળ ખાવા રહેવું પડે ને ! પ્રશ્નકર્તા : સારાં-ખરાબ કર્મો આપણે કરીએ, તે ભોગવવાનાં આ જન્મમાં જ હોય છે કે પછી આવતા જન્મમાં ? દાદાશ્રી : લોકો દેખે કે આણે ખરાબ કર્મ કર્યું, આણે ચોરી કરી, આણે લુચ્ચાઈ કરી, આણે દગો દીધો, એ બધાં અહીં જ ભોગવવાનાં અને એ કર્મથી જ રાગ-દ્વેષ મહીં ઉત્પન્ન થાય છે. એનું આવતા ભવમાં ભોગવવાનું. પ્રત્યેક અવતાર પૂર્વ અવતારોનું સરવૈયુંપ્રશ્નકર્તા : આ કર્મો અત્યારે છે, તે અનંત અવતારનાં છે ? દાદાશ્રી : દરેક અવતાર, અનંત અવતારના સરવૈૈયા રૂપે હોય છે. બધા અવતારનું ભેગું ના થાય. કારણ કે નિયમ એવો છે કે પરિપાક કાળે ફળ પાકવું જ જોઈએ, નહીં તો કેટલાં બધાં કર્મો રહી જાય. (પા.૨૨)પ્રશ્નકર્તા : આ બધું ગયા જન્મ સાથે સંકળાયેલું છે ને ? દાદાશ્રી : હા, એવું છે કે એક જન્મમાં બે કામ કરી શકતો નથી, કૉઝીઝ અને ઈફેક્ટ સાથે નથી કરી શકતો. કારણ કે કૉઝીઝ અને ઈફેક્ટ એની મુદત સાથે કેવી રીતે થાય ? પૂર્વે એની મુદત થાય ત્યારે કૉઝીઝ ઈફેક્ટીવ થાય. મુદત વગર ના થાય. જેમ આ આંબો હોય છે ને, તે એને મોર આવ્યા પછી આવડી કેરી બેસે. તે પાકતા સુધીની અંદર મુદત ખરી કે નહીં ? આપણે બીજે દા’ડે બાધા રાખીએ કે પાકી જાય, તો પાકે ? એટલે આ કર્મ જે બાંધીએ છીએ, એને પાક કરવા માટે સો વર્ષ જોઈએ ત્યારે ફળ આપવા લાયક સન્મુખ થાય. પ્રશ્નકર્તા : એટલે આ ભવનાં કર્મો જે છે, તે છેલ્લા અવતારનાં જ આ હોય છે કે આગલા અનંત અવતારનાં હોય ? દાદાશ્રી : ના, એવું નથી આ કુદરતનું. બહુ ચોખ્ખી કુદરત તો, જેવી વેપારીઓને રીત ના આવડે એવી સરસ રીત ! આજથી દસમા અવતાર પર કર્મ હોયને તેનું સરવૈયું કાઢીને તે નફો-નુકસાન આગળ ખેંચી જાય, નવમા અવતારમાં. હવે એમાં એ બધા કર્મો નહીં આવવાનાં, ફક્ત સરવૈયું કાઢીને કર્મો આવવાનાં. નવમામાંથી આઠમામાં, આઠમામાંથી સાતમામાં. મહીં આમ જેટલા વર્ષનું આયુષ્ય હોય પછી આ એટલાં વર્ષનાં કર્મો હોય. પણ તે તે તેવાં રૂપે મહીં આવે, પણ તે એક અવતારના જ કહેવાય. બે અવતારનાં ભેગાં ના કહી શકાય. કર્મ પાકવાને વાર લાગે એવાં હોય, કેટલાક લોકોને પાંચસો વર્ષે, હજાર-હજાર વર્ષે પાકે. તોય પણ આમાં ચોપડે નવું જ થાય. પ્રશ્નકર્તા : કેરી ફોરવર્ડ થઈ જાય. દાદાશ્રી : હા, ચોપડાની તમને વસ્તુ સમજાઈ ? જૂના ચોપડાનું નવા ચોપડામાં આવી જાય અને હવે ભઈ નવા ચોપડે એમાં આવી જવાના. કશું બાકી રહ્યા સિવાય. એટલે આ કૉઝીઝ રૂપે કર્મ બંધાય છે તે ઈફેક્ટિવ ક્યારે થાય છે ? પચાસ-સાઈઠ-પોણોસો વર્ષ થાય ત્યારે (પા.૨૩)ફળ આપવા માટે ઈફેક્ટિવ થાય છે ! આ બધાનો સંચાલક કોણ ?પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ? દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એનાં પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે. પ્રશ્નકર્તા : આ કર્મનાં ફળ આપણને ભોગવવાં પડે. એ કોણ નક્કી કરે ? કોણ ભોગાવડાવે ? દાદાશ્રી : નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ ‘ઈટસેલ્ફ’ કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે. પ્રશ્નકર્તા : તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે ? દાદાશ્રી : 2H ને O ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ. પ્રશ્નકર્તા : પણ કોઈએ એને કર્યો હશેને, એ નિયમ ? દાદાશ્રી : નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને કરવાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે એને અમે ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ થી જગત ચાલે છે એમ કહીએ છીએ. એને ગુજરાતીમાં કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ’ જગત ચલાવે છે. ‘વ્યવસ્થિત શક્તિ’ અને કર્મપ્રશ્નકર્તા : આપ જે ‘વ્યવસ્થિત’ કહો છો તે કર્મ પ્રમાણે છે ? દાદાશ્રી : કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત શક્તિ’ ચલાવે છે. તમને અહીં કોણ તેડી લાવ્યું ? કર્મ ? ના. તમને ‘વ્યવસ્થિત’ તેડી લાવ્યું. કર્મ તો મહીં પડ્યું જ હતું. તે ગઈ કાલે કેમ (પા.૨૪)ના તેડી લાવ્યું ને આજે લાવ્યું ? ‘વ્યવસ્થિત’ કાળ ભેગો કરે, ભાવ ભેગો કરે. બધા જ સંયોગો ભેગા થયા, તે તું અહીં આવ્યો. કર્મ તો ‘વ્યવસ્થિત’નો એક અંશ છે. આ તો સંજોગ બાઝે ત્યારે કહે, ‘મેં કર્યું’ અને સંજોગ ના બાઝે ત્યારે ? ફળ મળે ઓટોમેટિકપ્રશ્નકર્તા : કર્મનું ફળ બીજો કોઈ આપે તો પાછું એ કર્મ જ થયું ? દાદાશ્રી : કર્મનું ફળ બીજો કોઈ આપે જ નહીં. કર્મનું ફળ કોઈ આપનારો જન્મ્યો નથી. ફક્ત અહીંયાં આગળ માંકણ મારવાની દવા પી જાય એટલે મરી જ જાય, એમાં વચ્ચે ફળ આપનારની કોઈ જરૂર નથી. ફળ આપનાર હોય ને તો તો બહુ મોટી ઓફિસ કરવી પડત. આ તો સાયન્ટિફિક રીતે ચાલે છે. કોઈની જરૂર નથી વચ્ચે ! કર્મ એનું પરિપક્વ થાય છે એટલે ફળ આવીને ઊભું જ રહે છે, પોતે પોતાની મેળે જ. જેમ આ કાચી કેરીઓ તો એની મેળે પાકે છે ને ! નથી પાકતી ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : આંબા ઉપર નથી પાકતી ? હા. સાખ થાય છે ને, એવી રીતે આ કર્મ પાકે છે, એનો ટાઈમ આવેને ત્યારે પાકીને તૈયાર થઈને ફળ આપવાને માટે લાયક થાય. પ્રશ્નકર્તા : ગયા ભવમાં જે આપણે કર્મો કર્યાં, આ ભવમાં એનું ફળ આવ્યું, તો આ બધા કર્મોનો હિસાબ કોણ રાખે છે ? એનો ચોપડો કોણ રાખે છે ? દાદાશ્રી : ઠંડી પડે છે, ત્યારે પાઈપની અંદર પાણી હોય છે તે બરફ કોણ કરી નાખે છે ? એ ઠંડું વાતાવરણ થયું એટલે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ બધું કર્મો-બર્મો કરે છે તે. (પા.૨૫)તેનું ફળ આવે છે તેય એવિડન્સ છે. તને ભૂખ કોણ લગાડે છે ? બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એનાથી બધું ચાલે છે ! કર્મફળમાં ‘ઓર્ડર’નો આધારપ્રશ્નકર્તા : કયા ઓર્ડરમાં કર્મોનું ફળ આવે છે ? જેવા ઓર્ડરમાં એ એનું બંધાયું હોય, એવા જ ઓર્ડરમાં એનું ફળ આવે ? એટલે પહેલાં આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું. એક નંબરનું કર્મ આ બાંધ્યું, તો એનું ડિસ્ચાર્જ પણ પછી પહેલું એ જ આવે. પછી બે નંબરનું બાંધ્યું, એનું ડિસ્ચાર્જ બીજા નંબરે આવે, એવું છે ? દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા : હં, તો કેવું છે એ જરા સમજાવો. દાદાશ્રી : ના, એવું નહીં. એ બધા એના સ્વભાવ પ્રમાણે બધું ગોઠવાઈ જાય કે દિવસે ભોગવવાનાં કર્મો, આ રાત્રે ભોગવવાનાં કર્મો, આ બધાં..... એમ ગોઠવાઈ જાય. આ છે તે દુઃખમાં ભોગવવાનાં કર્મો, આ સુખમાં ભોગવવાનાં કર્મ, એ ગોઠવાઈ જાય. એ બધું ગોઠવણી થઈ જાય એની. પ્રશ્નકર્તા : એ ગોઠવણી કયા આધાર પર થાય ? દાદાશ્રી : સ્વભાવના આધારે. આપણે બધા ભેગા થાય, તો બધા સ્વભાવને મળતા આવતા હોય તો જ ભેગા થાય. નહીં તો થાય નહીં. કેવળજ્ઞાનમાં જ એ દેખાયપ્રશ્નકર્તા : આ કર્મ નવું છે કે જૂનું છે, એ શી રીતે દેખાય ? દાદાશ્રી : કર્મ કર્યું કે ના કર્યું, એ તો કોઈનાથી ના દેખાય. એ તો ભગવાન કે જેમને કેવળજ્ઞાન છે તે જ જાણી શકે. આ જગતમાં જે તમને કર્મો દેખાય છે, તેમાં એક રાઈ જેટલું પણ કર્મ નવું નથી. આ કર્મોના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો નવું કર્મ ના થાય ને તન્મયાકાર રહો તો (પા.૨૬)નવું કર્મ બંધાય. આત્મજ્ઞાની થાય ત્યાર પછી જ કર્મ ના બંધાય. આ જગતમાં આત્મા દેખાતો નથી, કર્મેય દેખાતાં નથી પણ કર્મફળ દેખાય છે. લોકોને કર્મફળ આવે તેમાં ‘ટેસ્ટ’ પડે એટલે તેમાં તન્મયાકાર થઈ જાય, તેનાથી ભોગવવું પડે. અત્યારે મૂઆ ક્યાંથી ?પ્રશ્નકર્તા : ઘણી વખતે એમ થાય કે આપણે અશુભ કર્મ બાંધતા હોઈએ અને તે વખતે ઉદય છે તો બહાર શુભ કર્મોનો હોય ? દાદાશ્રી : હા. એવું બને. અત્યારે તમારે શુભ કર્મનો ઉદય હોય પણ મહીં અશુભ કર્મ બાંધતા હો. તમે બહારગામથી અહીં સીટીમાં આવ્યા હોય ને રાતે મોડું થઈ ગયું હોય તો મહીં થાય કે આપણે ક્યાં સૂઈ જઈશું ? તે પછી તમે કહો કે અહીંયાં મારા એક મિત્ર રહે છે, ત્યાં આપણે જઈએ. એટલે ચાર જણ એ ને તમે પાંચમા, સાડા અગિયારે વાગે પેલા મિત્રને ત્યાં જઈને બારણું ઠોક્યું. એ કોણ ? ત્યારે કહે, ‘હું.’ ત્યારે કહે, ‘ઉઘાડું.’ એ બારણું ઉઘાડે પછી શું કહે આપણને ? પાંચ જણ દેખે. આપણને એકલાને ના દેખે, ચાર-પાંચ જણને દેખે એટલે આપણને શું કહે ? ‘પાછા જાવ’ એવું કહે ? શું કહે ? ‘આવો, પધારો !’ આપણા તો ખાનદાન લોકો ‘આવો, પધારો’ કહીને બેસાડે. પ્રશ્નકર્તા : એ એમે ય કહે, ક્યારે આવ્યા ને ક્યારે જવાના ? દાદાશ્રી : ના. ખાનદાન એવું ના બોલે. તે ‘આવો, પધારો’ કરીને બેસાડે પણ એના મનમાં શું થતું હોય ? કે અત્યારે ક્યાંથી મૂઆ ! એ કર્મ. એ કરવાની જરૂર નથી. એ આવ્યા છે, એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે. પછી જતા રહેશે. એણે જો આ ડહાપણ કર્યું એ, ‘અત્યારે (પા.૨૭)ક્યાંથી મૂઆ’ એ કર્મ બાંધ્યું. હવે એ કર્મ બાંધ્યું ત્યારે મને પૂછવું’ તું કે આવું થઈ જાય છે મારે, તો શું કરવું ? ત્યારે હું કહું, કે તે ઘડીએ કૃષ્ણ ભગવાનને માનતો હોય, ગમે તેને માનતો હોય તેમનું નામ લઈ ‘હે ભગવાન ! મારી ભૂલ થઈ’ આવું ફરી નહીં કરું. એવી માફી માંગ એટલે ભૂંસાઈ જાય. બાંધેલું કર્મ તરત ને તરત ભૂંસાઈ જાય. જ્યાં સુધી કાગળ પોસ્ટમાં ના નાખીએ, ત્યાં સુધી ફેરફાર થઈ શકે. પોસ્ટમાં પડી ગયો એટલે કે આ દેહ છૂટી ગયો, પછી બંધાઈ ગયું. દેહ છૂટે એ પહેલાં છે તે આપણે બધું ભૂંસી નાખીએ તો ભૂંસાઈ જાય. હવે એક તો પેલાએ કર્મ તો બાંધ્યું ને ? હવે પછી પાછા તને શું કહે છે ? ‘ચંદુભાઈ આટલી આટલી...’ શું બોલ્યા આટલી તે ? તે કોફી કે ચા કંઈ બોલે નહીં, પણ આપણે સમજી જઈએ કે ચાનું કહે છે. પણ એ ‘આટલી થોડીક થોડીક...’ એટલે તમે કહો, અત્યારે રહેવા દો ને ચા-બા અત્યારે ખીચડી-કઢી હશે તો ચાલશે. તે મહીં બૈરાં પછી કૂદાકૂદ. એ કર્મ બંધાયાં બધાં. હવે તે ઘડીએ આ કુદરતનો કાયદો છે. તે હિસાબે આવ્યો છે, તો એને માટે ભાવ નહીં બગાડવાનો. આવા નિયમમાં રહે ને ભલે ખીચડી ને કઢી, જે આપણી પાસે હોય એ આપવું. પેલા એવું નથી કહેતા કે તમે બાસુંદી ખવડાવો. ખીચડી-કઢી, શાક જે હોય તે પીરસો. આ તો પાછા આબરૂ જતી રહે એટલા હારુ આ પાછો ખીચડી-કઢી ના મૂકે બીજું શીરો કે કશું મૂકે. પણ અંદર મનમાં પાછી ગાળો ભાંડે. અત્યારે ક્યાંથી મૂઆ ! એ એનું નામ કર્મ. એટલે આવું ના હોવું જોઈએ. માટે ન બગાડો ભાવ કદીપ્રશ્નકર્તા : પુણ્યકર્મ ને પાપકર્મ કેવી રીતે બંધાય ? દાદાશ્રી : બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહીં. (પા.૨૮)કોઈ પણ કાર્ય સ્વાર્થ ભાવે કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ ભાવે કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્નેય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને ? સ્થૂળકર્મ : સૂક્ષ્મકર્મએક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યા. તે તેના મિત્રે તેને પૂછયું, ‘આટલા બધા રૂપિયા આપી દીધા ?’ ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસોય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યા.’ હવે આનું ફળ ત્યાં શું મળે ? પચાસ હજાર દાન કર્યું, તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો ‘વાહ વાહ’ બોલાવે. કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે ‘એક પૈસોય આપું તેવો નથી.’ તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસોય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ? ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, ‘મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધાય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધાય આપી દેત.’ આમ દિલથી કહે. હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે. એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસના અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેળું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કના વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય ! (પા.૨૯)એટલે ભગવાન એનો એક પૈસોય જમે કરતા નથી. એનું શું કારણ ? કારણ એ કે દાન-ધર્મ-ક્રિયા એ બધાં સ્થૂળકર્મ છે. એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે. આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે વિગેરે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું. એટલે આજે સ્થૂળકર્મ દેખાય છે, સ્થૂળ આચાર દેખાય છે તે ‘ત્યાં’ કામ લાગે નહીં. ‘ત્યાં’ તો સૂક્ષ્મ ભાવ શું છે ? સૂક્ષ્મકર્મ શું છે ? એટલું જ ‘ત્યાં’ કામ લાગે. હવે જગત આખું સ્થૂળકર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું છે. આ સાધુ-સન્યાસીઓ બધા ત્યાગ કરે, તપ કરે, જપ કરે, પણ એ તો બધું સ્થૂળકર્મ છે. એમાં સૂક્ષ્મકર્મ કયાં છે ? આ દેખાય છે એમાં આવતા ભવ માટેનું સૂક્ષ્મકર્મ નથી. આ કરે છે એ સ્થૂળકર્મનો, એમને જશ અહીં જ મળી જાય. ક્રિયા નહીં પણ ધ્યાનથી ચાર્જિંગઆચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું એ જોવાનું છે. મહીં જે ચાર્જ થાય છે, તે ‘ત્યાં’ કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે, એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે ‘મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.’ તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવાં પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતો હોય ને મહીં શુંય કરતો હોય. (પા.૩૦)એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પૂછયું, ‘શેઠ ક્યાં ગયા છે ?’ ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, ‘ઉકરડે.’ શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઉકરડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂક્ષ્મકર્મ ને બહાર સામાયિક કરતા હતા તે સ્થૂળકર્મ. ભગવાન આવાં પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ‘ત્યાં’ ચાલે. આ બહારના ઠઠારા ‘ત્યાં’ ચાલે એવા નથી. મહીં ફેરવો ભાવ આમસ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને. દાદાશ્રી : એ ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે ‘જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.’ કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતા ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું. આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરેય ગુસ્સે નથી થતો. છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવા છે. તે આનાથી આવતા ભવે પાછો (પા.૩૧)ગુસ્સાવાળો થઈ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો ! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે. આ જ્ઞાનથી સંસાર સાથે મોક્ષહવે ઘરમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે હું પૈણ્યો છું, તે હવે શી રીતે મોક્ષે જવાય ? અલ્યા, સ્ત્રી નથી નડતી, તારાં સૂક્ષ્મકર્મ નડે છે. આ તારાં સ્થૂળકર્મ કોઈ નડતાં નથી. એ મેં ઓપન કર્યું છે અને આ સાયન્સ ઓપન ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે. મહીં અજંપો, અજંપો, અજંપો રહે. પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે, તે તો તમે જાણતા નથી. તમે તો સ્થૂળને છોડ્યું. આંખે દેખાય, કાને સંભળાય એ છોડ્યું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. આ સાયન્સ નવી જ જાતનું છે, આ તો અક્રમ વિજ્ઞાન છે. જેનાથી આ લોકોને બધી રીતે ફેસીલિટી થઈ પડે. કંઈ બૈરી છોડીને નાસી જવાય ? અને બૈરી છોડીને નાસી જઈએ અને આપણો મોક્ષ થાય એ બને ખરું ? કો’કને દુઃખ દઈને આપણો મોક્ષ થાય એ બને ખરું ? એટલે બૈરી-છોકરાંની ફરજો બધી જ બજાવો અને સ્ત્રી જે ‘જમવા’નું આપે, તે નિરાંતે ખાવ એ બધું સ્થૂળ છે. એ સમજી જજો. સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને પાંચ વાક્યો આજ્ઞા રૂપે આપ્યાં છે. મહીં અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે આ કરેક્ટ છે, હું જે કરું છું, જે ભોગવું છું, એ કરેક્ટ છે. એવો અભિપ્રાય ના હોવો જોઈએ. બસ આટલો જ તમારો અભિપ્રાય ફર્યો કે બધું ફેરફાર થઈ ગયું. (પા.૩૨)આ રીતે ફેરવો બાળકોનેછોકરામાં ખરાબ ગુણો હોય તો મા-બાપ તેને ટૈડકાવે છે અને કહેતા ફરે કે ‘મારો છોકરો તો આવો છે, નાલાયક છે, ચોર છે.’ અલ્યા, એ એવું કરે છે, તે કરેલાને મેલને પૂળો. પણ અત્યારે એના ભાવ ફેરવને ! એનાં મહીંના અભિપ્રાય ફેરવને ! એના ભાવ કેમ ફેરવવા, તે મા-બાપને આવડતું નથી. કારણ કે સર્ટિફાઈડ મા-બાપ નથી અને મા-બાપ થઈ ગયાં છે ! છોકરાને ચોરીની કુટેવ પડી ગઈ હોય તો મા-બાપ તેને ટૈડકાવ ટૈડકાવ કરે. માર માર કરે. આમ મા-બાપ એક્સેસ બોલે હંમેશાં એકસેસ બોલેલું હેલ્પ ના કરે. એટલે છોકરો શું કરે ? મનમાં નક્કી કરે કે ‘છો ને બોલ્યા કરે. આપણે તો એવું કરવાના જ.’ તે આ છોકરાને મા-બાપ વધારે ચોર બનાવે છે. દ્વાપર ને ત્રેતા ને સત્યુગમાં જે હથિયારો હતાં, તે આજે કળિયુગમાં લોકોએ વાપરવા માંડ્યાં. છોકરાને ફેરવવાની રીત જુદી છે. એના ભાવ ફેરવવાના. એના પર પ્રેમથી હાથ ફેરવીને કહેવું કે ‘આવ બેટા, છો તારી બા બૂમાબૂમ કરતી. એ બૂમાબૂમ કરે, પણ તે આવી રીતે કોઈની ચોરી કરી તેમ કોઈ તારા ગજવામાંથી ચોરી કરે તો તને સુખ લાગે ? તે વખતે તને મહીં કેવું દુઃખ થાય ? એમ સામાને ય દુઃખ ના થાય ? તેવી આખી થિયરી છોકરાને સમજાવવી પડે. એક વખત તેને ઠસી જવું જોઈએ કે આ ખોટું છે, તમે એને મારમાર કરો છો, એનાથી તો છોકરા હઠે ચડે છે. ખાલી રીત જ ફેરવવાની. જગત આખું સ્થૂળકર્મને જ સમજ્યું છે. સૂક્ષ્મકર્મને સમજ્યું જ નથી. સૂક્ષ્મને સમજ્યું હોત તો આ દશા ના હોત. ચાર્જ અને ડિસ્ચાર્જ કર્મપ્રશ્નકર્તા : સ્થૂળકર્મ અને સૂક્ષ્મકર્મના કર્તા જુદા જુદા છે ? દાદાશ્રી : બંનેના કર્તા જુદા છે. આ જે સ્થૂળ કર્મો છે, તે ડિસ્ચાર્જ કર્મો છે. આ બેટરીઓ હોય ને, તેને ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ થયા કરે ને ? આપણે ડિસ્ચાર્જ ના કરવી હોય તોય તે થયા જ કરે ને ? (પા.૩૩)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવું આ સ્થૂળ કર્મો એ ડિસ્ચાર્જ કર્મો છે ને બીજાં મહીં નવાં ચાર્જ થઈ રહ્યાં છે તે સૂક્ષ્મ કર્મો છે. આ ભવમાં જે ચાર્જ થઈ રહ્યાં છે તે આવતા ભવમાં ડિસ્ચાર્જ થયા કરશે અને આ અવતારમાં ગયા અવતારની બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે છે, એક મનની બેટરી, એક વાણીની બેટરી અને એક દેહની બેટરી - આ ત્રણેય બેટરીઓ અત્યારે ડિસ્ચાર્જ થયા જ કરે છે અને મહીં નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે. આ બોલું છું, તે તને એમ થાય કે ‘હું’ જ બોલું છું. પણ ના, આ તો રેકર્ડ બોલી રહી છે. આ તો વાણીની બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે. હું બોલતો જ નથી અને આ બધા જગતનાં લોકો શું કહે કે ‘મેં કેવી વાત કરી, કેવું હું બોલ્યો !’ એ બધા કલ્પિત ભાવો છે, ઈગોઈઝમ છે. ખાલી એ ઈગોઈઝમ (અહંકાર) જાય તો પછી બીજું કશું રહ્યું ? આ ઈગોઈઝમ એ જ અજ્ઞાનતા છે અને એ જ ભગવાનની માયા છે. કારણ કે કરે છે બીજા ને પોતાને એવું એડજસ્ટમેન્ટ થાય છે કે ‘હું જ કરું છું.’ આ સૂક્ષ્મકર્મો જે મહીં ચાર્જ થાય છે, તે પછી કોમ્પ્યુટરમાં જાય છે. એક વ્યષ્ટિ કોમ્પ્યુટર છે ને બીજુ સમષ્ટિ કોમ્પ્યુટર છે. તે વ્યષ્ટિમાં પહેલાં સૂક્ષ્મકર્મો જાય ને ત્યાંથી પછી સમષ્ટિ કોમ્પ્યુટરમાં જાય. પછી સમષ્ટિ કામ કર્યા કરે. ‘હું ચંદુભાઈ છું’ એમ રિયલી સ્પિકીંગ બોલવું એ જ કર્મ બંધાય છે. ‘હું કોણ છું’ એટલું જ જો સમજ્યો તો ત્યારથી બધાં જ કર્મોથી છૂટ્યો. એટલે આ વિજ્ઞાન સરળ ને સીધું મૂક્યું છે, નહીં તો કરોડો ઉપાયે એબ્સોલ્યુટ થવાય એવું નથી અને આ તો તદ્દન એબ્સોલ્યુટ થિયરમ છે. કર્મ - કર્મફળ - કર્મફળ પરિણામપ્રશ્નકર્તા : ગયા ભવનાં કર્મો જે છે ચાર્જ થયેલાં, એ ડિસ્ચાર્જરૂપે આ ભવમાં આવે છે. તો આ ભવનાં જે કર્મો છે, એ આ ભવમાં જ ડિસ્ચાર્જરૂપે આવે કે નહીં ? (પા.૩૪)દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો ક્યારે આવે ? દાદાશ્રી : ગયા અવતારનાં કૉઝીઝ છે ને તે આ અવતારની ઈફેક્ટ છે. આ અવતારનાં કૉઝીઝ આવતા અવતારની ઈફેક્ટ છે. પ્રશ્નકર્તા : પણ કેટલાક કર્મો એવાં હોય છે ને કે અહીંયાં ને અહીંયાં ભોગવી લેવાનાં હોય છે ને, આપે એવું કહ્યું છે, એક વખત. દાદાશ્રી : એ તો આ જગતનાં લોકોને એવું લાગે. જગતનાં લોકોને શું લાગે ‘હં...અ.... જો, હોટલમાં બહુ ખાતો હતો ને તે મરડો થઈ ગયો.’ હોટલોમાં ખાતો હતો એ કર્મ બાંધ્યાં, તેથી આ મરડો થઈ ગયો કહેશે. ત્યારે જ્ઞાનીઓ શું કહે, એ હોટલમાં શા માટે ખાતો હતો ? એ કોણે શીખવાડ્યું એને હોટલમાં ખાવાનું ? કેવી રીતે બન્યું ? સંજોગો ઊભા થઈ ગયા. પહેલાં જે યોજના કરેલી, તે આ યોજના આવી એટલે એ હોટલમાં ગયો. એ જવાના સંજોગો બધા ભેગા થઈ જાય. એટલે હવે છૂટવું હોય તો છૂટાય નહીં. એના મનમાં એમ થાય કે સાલું આવું કેમ થતું હશે ? તે અહીંના ભ્રાંતિવાળાને એમ લાગે કે આ કામ કર્યું એટલે આ થયું. ભ્રાંતિવાળા એવું સમજે કે અહીં કર્મ બાંધે છે ને અહીં ભોગવે. એવું સમજે. પણ આ શોધખોળ નહીં કરેલી કે એને નથી જવું તોય શી રીતે જાય છે ? એને શી રીતે નથી જવું છતાં એ કયા કાયદાથી જાય છે, તે હિસાબ છે. તે આપણે વધારાનું શીખવાડીએ છીએ કે આ છોકરાને માર-માર ના કરશો વગર કામનું, ફરી ભાવ ના કરે એવું કરો. ફરી યોજના ન કરે એવું કરો. ચોરી એ ખરાબ છે.... હોટલમાં ખાવું એ ખરાબ છે, એવું એને જ્ઞાન ઉત્પન્ન થાય એવું કરો. એટલે ફરીથી આવતે ભવ એવું બને નહીં. આ તો માર-માર કરે ને છોકરાને કહેશે, ‘જો નહીં જવાનું તારે’, તો એનું મન અવળું ફરે કે, એ છોને કહે, આપણે તો જવાના, બસ. (પા.૩૫)ઊલટો હઠે ચઢે ને તેથી જ આ કર્મો ઊંધાં થાય છે ને ! મા-બાપ ઊંધાં કરાવડાવે છે. પ્રશ્નકર્તા : જે આગલા ભાવ કર્યા હતા એટલે હોટલમાં ગયો, હવે હોટલમાં ગયો, પછી ત્યાં ખાધું અને પછી મરડો થયો, આ બધું ડિસ્ચાર્જ છે ? દાદાશ્રી : એ હોટલમાં ગયો એ ડિસ્ચાર્જ છે અને પેલું મરડો થયો તેય ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ પોતાના તાબામાં ના રહે, કંટ્રોલ ના રહે, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. હવે એક્ઝેક્ટ જો કર્મની થિયરી કોને કહેવાય એવું જો સમજે, તો એ માણસ પુરુષાર્થ ધર્મને સમજી શકે. આ જગતના લોકો જેને કર્મ કહે છે, એને કર્મની થિયરી કર્મફળ કહે છે. હોટલમાં ખાવાનો ભાવ થાય છે. પૂર્વભવે કર્મ બાંધ્યું હતું, તેના આધારે ખાય છે. ત્યાં એ કર્મ કહેવાય. એ કર્મના આધારે આ ભવમાં એ હોટલમાં ખા ખા કરે છે. એ કર્મફળ આવ્યું કહેવાય અને આ મરડો થયો, એને જગતના લોકો કર્મફળ આવ્યું એવું માને. ત્યારે કર્મની થિયરી શું કહે છે આ મરડો થયો, એ કર્મફળનું પરિણામ આવ્યું. વેદાંતની ભાષામાં હોટલમાં ખાવા ખેંચાય છે તે પૂર્વે બાંધેલા સંચિત કર્મને આધારે, અત્યારે મહીં ખૂબ ના છે છતાંય હોટલમાં જઈને ખાઈ આવે છે તે પ્રારબ્ધ કર્મ અને એનું ફરી પાછું આ ભવમાં જ પરિણામ આવે ને મરડો થઈ જાય એ ક્રિયમાણ કર્મ. હોટલમાં ખાય ત્યારે મજા આવી તે વખતેય બીજ નાખે છે અને મરડો થાય ત્યારે ભોગવતી વખતે ય ફરી બીજ નાખે છે. એટલે કર્મફળ વખતે અને કર્મફળ પરિણામ વખતે, બે બીજ નાખે છે. સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણકર્મપ્રશ્નકર્તા : એ બધું પૂર્વભવના સંચિતકર્મ ઉપર આધારિત છે ? (પા.૩૬)દાદાશ્રી : એવું છે ને, સંચિતકર્મને એ બધા શબ્દો સમજવાની જરૂર છે. એટલે સંચિતકર્મો એ કૉઝીઝ છે અને પ્રારબ્ધકર્મ એ સંચિતકર્મની ઈફેક્ટ છે અને ઈફેક્ટનું ફળ તરત જ મળે એ ક્રિયમાણકર્મ અને સંચિતકર્મનું ફળ પચાસ-સાઠ-સો વર્ષ પછી એનો કાળ પરિપક્વ થાય ત્યારે મળે. સંચિતકર્મનું આ ફળ છે. સંચિતકર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય. ફળ આપતી વખતે પ્રારબ્ધકર્મ કહેવાય. એના એ જ સંચિતકર્મ જ્યારે ફળ આપવા તૈયાર થાય, ત્યારે એ પ્રારબ્ધકર્મ કહેવાય. સંચિત એટલે પેટીમાં મૂકેલી થોકડીઓ. એ જે થોકડી બહાર કાઢીએ એ પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધનો અર્થ શું કે જે ફળ આપવા સન્મુખ થયું તે પ્રારબ્ધ અને ફળ આપવા સન્મુખ નહીં થયું, હજુ તો કેટલાય કાળ પછી ફળ આપશે ત્યાં સુધી એ સંચિત બધાં. સંચિત પડી રહેલાં હોય બધા. ધીમે ધીમે ઉકેલ આવતો જાય, તેમ તેમ ફળ આપે. અને ક્રિયમાણ તે આંખે દેખાય છે. પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે તે ક્રિયમાણ કર્મ. એટલે આ ત્રણ રીતે ઓળખાય કર્મ. લોકો કહે જુઓને, આને બે ધોલ મારી દીધી. ધોલ મારનારને દેખે, ધોલ ખાનારને દેખે, તે આ ક્રિયમાણકર્મ. હવે ક્રિયમાણકર્મ એટલે શું ? ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ. પેલાને ફળ એવું આવ્યું કે બે ધોલો આપી દીધી. અને પેલાને ફળ એવું આવ્યું તે બે ધોલો ખાધી. હવે એ ક્રિયમાણનું પાછું ફળ આવે. તો પેલી ધોલ મારી એટલે પછી મનમાં રીસ રાખે કે મારા લાગમાં આવે તે ઘડીએ જોઈ લઈશ. એટલે પછી પાછો એ એનો બદલો આપે. અને પછી નવાં પાછાં બીજ પડતાં જ જાય. નવાં બીજ તો નાખતો જ જાય મહીં. બાકી સંચિત એકલાં તો એમ ને એમ પડી રહેલો, સ્ટોકમાં રહેલો માલ. પુરુષાર્થ એ વસ્તુ જુદી છે. ક્રિયમાણ તો પ્રારબ્ધનું રિઝલ્ટ છે, પ્રારબ્ધનું ફળ છે. પ્રશ્નકર્તા : આ પુરુષાર્થને આપ કર્મયોગ કહો છો ? દાદાશ્રી : કર્મયોગ સમજવો જોઈએ. કર્મયોગ જે ભગવાને લખ્યો (પા.૩૭)અને લોકો જેને કર્મયોગ કહે છે એ બેમાં આકાશ-પાતાળ જેટલો ફેર છે. પુરુષાર્થ એટલે કર્મયોગ ખરો, પણ કર્મયોગ કેવો ? ઓન પેપર. યોજના, એ કર્મયોગ કહેવાય. એ કર્મયોગ જે થયો, એ પછી હિસાબ પડ્યો એનું ફળ એ સંચિત કહેવાય અને સંચિત એય છે તે યોજનામાં જ છે, પણ જ્યારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કહેવાય અને પ્રારબ્ધ ફળ આપે ત્યારે ક્રિયમાણ ઊભાં થાય. પુણ્ય હોય તો ક્રિયમાણ સારાં થાય, પાપ આવે ત્યારે ક્રિયમાણ અવળાં થાય. અજાણ્યે કરેલાં કર્મોનું ફળ ખરું ?પ્રશ્નકર્તા : જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે ? અને અજાણતાં કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે ? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશે ને ? દાદાશ્રી : કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો. કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય ? પ્રશ્નકર્તા : દાઝી જવાય. દાદાશ્રી : તરત ફળ, અજાણથી કરો કે જાણીને કરો. પ્રશ્નકર્તા : અજાણમાં કરેલી ભૂલોને આ રીતે ભોગવવી પડે, તો જાણ્યા પછી કેટલું ભોગવવું પડે ? દાદાશ્રી : હા, એટલે એ જ હું તમને સમજાવું કે અજાણથી કરેલાં કર્મ, એ કેવી રીતે ભોગવવાનાં ? ત્યારે કહે, એક માણસે બહુ પુણ્યકર્મ કર્યાં હોય. રાજા થવાના પુણ્યકર્મ કર્યાં પણ અજાણમાં કર્યાં હોય, સમજીને નહીં. લોકોને જોઈ જોઈને એવાંય કર્મ પોતે કર્યાં. તે પછી સમજ્યા વગર રાજા થાય એવાં કર્મો બાંધે છે. હવે એ પાંચ વર્ષની ઉંમરે રાજા ગાદી પર આવ્યો હોય. ફાધર ઓફ થઈ ગયા એટલે અને ૧૧મે વર્ષે એને છે તે છ વર્ષ રાજ કરવાનું હતું, તે ૧૧ વર્ષે છૂટો કર્યો. હવે (પા.૩૮)બીજા માણસને ૨૮ વર્ષે જો રાજા થયો અને ૩૪ વર્ષે છૂટો થયો. એમાં કોણે વધારે સુખ ભોગવ્યું ? છ વર્ષ બેઉને રાજ મળ્યું. પ્રશ્નકર્તા : ૨૮ વર્ષે આવ્યો ને એ ૩૪ વર્ષે ગયો એણે. દાદાશ્રી : એણે જાણીને પુણ્ય બાંધેલું, તેથી આ જાણીને ભોગવ્યું. પેલાએ અજાણ્યા પુણ્ય કરેલું, તે અજાણે ભોગવ્યું. એવું અજાણ્યા પાપ બાંધો તો અજાણથી ભોગવાઈ જાય અને અજાણ્યે પુણ્ય કરો તો અજાણે ભોગવાઈ જાય. મજા ના આવે. સમજમાં આવે છે ને ? અજાણે કરેલા પાપ હું તમને સમજાવું. આ બાજુ બે વંદા જતા હતા, મોટા-મોટા વંદા અને આ બાજુ આ બે ભઈબંધો જતા હતા. તે એક ભઈબંધનો પગ છે તે વંદા ઉપર પડ્યો, તે વંદો કચડાઈ ગયો અને બીજા ભઈબંધે વંદો જોયો કે ઘસી ઘસીને માર્યો. બેઉ જણે શું કામ કર્યું ? પ્રશ્નકર્તા : વંદાને માર્યો. દાદાશ્રી : બંને ખૂની ગણાય, કુદરતને ત્યાં. તે વંદાના ઘરના માણસોએ કરી ફરિયાદ કે અમારા બંનેના ધણીને આ છોકરાઓએ મારી નાખ્યા છે. બન્નેનો ગુનો સરખો છે. બંને ગુનેગાર ખૂની તરીકે જ પકડાયા. ખૂન કરવાની રીત જુદી જુદી છે. પણ હવે એનું ફળ આપતી વખતે બંનેને શું ફળ મળે છે ? ત્યારે કહે, બંનેને બે ધોલ અને ચાર ગાળો એવી સજા થઈ. હવે પેલો જેણે અજાણથી કરેલું આ બધું, તે માણસ બીજે જન્મે મજૂર તરીકે હતો. તે એને કો’કે બે ધોલ મારી દીધી અને ચાર ગાળો ચોપડી દીધી. તે થોડેક છેટે જઈને કે આમ આમ ખંખેરી દીધું ને પેલો બીજે જન્મે ગામમાં આગેવાન હતો, બહુ મોટો સારામાં સારો માણસ. એને કો’કે બે ધોલ મારી અને ચાર ગાળો દીધી, તે કેટલા દહાડા સુધી ઊંઘ્યો નથી એ. કેટલા દા’ડા ભોગવ્યું ! આ તો જાણીને મારેલું, પેલાએ આ અજાણતાં કરેલું. માટે સમજીને કરજો આ બધું. જે કરોને એ જવાબદારી આપણી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. ગોડ ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. (તમે જ સંપૂર્ણ જવાબદાર છો, ભગવાન જરા પણ જવાબદાર નથી.) (પા.૩૯)પ્રારબ્ધ ભોગવ્યે જ છૂટકોપ્રશ્નકર્તા : મુખ્ય તો આપણાં જ કર્મ નડે ? દાદાશ્રી : બીજું કોણ ત્યારે ! બીજુ કોઈ કરતું નથી. બહારનું કોઈ કરતું નથી. તમારાં જ કર્મ પજવે છે તમને. વાઈફ ડાહી લાવે અને પછી ગાંડી થઈ જાય. તે કંઈ કો’કે કરી ? એ આપણાં જ કર્મના ઉદયે એ ગાંડી થઈ જાય. એટલે આપણે એ મનમાં સમજી જવાનું કે મારા જ ભોગ છે, મારા જ હિસાબ છે ને મારે ચૂકવી દેવા છે જેને તેને. આઈ ફસાયા ભઈ, આઈ ફસાયા. પોતાને ભોગવ્યા વગર છૂટકો નહીં. પ્રારબ્ધ અમારેય ભોગવવું પડે, બધાને, મહાવીર પ્રભુ હઉ ભોગવતા. ભગવાન મહાવીરને તો દેવલોકો હેરાન કરતા, તેય ભોગવતા’તા. મોટા મોટા દેવલોકો માંકણ નાખતા હતા. પ્રશ્નકર્તા : એ એમને પ્રારબ્ધ ભોગવવાનું થયું ને ? દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! એ પોતે સમજતા હતા કે આ દેવલોકો કરે છે છતાં પ્રારબ્ધ મારું છે. કયા કર્મોથી દેહને ભોગવટો ?પ્રશ્નકર્તા : કયા કર્મના આધારે શરીરના રોગો થાય ? દાદાશ્રી : લૂલો-લંગડો થઈ જાય છે ને ! હા, તે બધું શું થયું છે ? એ શેનું ફળ છે ? એ આપણે કાનનો દુરુપયોગ કરીએ તો કાનનું નુકસાન થઈ જાય. આંખનો દુરુપયોગ કરીએ તો આંખ જતી રહે, નાકનો દુરુપયોગ કરે તો નાક જતું રહે, જીભનો દુરુપયોગ કરે તો જીભ ખરાબ થાય, મગજનો દુરુપયોગ કરે તો મગજ ખરાબ થાય, પગનો દુરુપયોગ કરે તો પગ ભાંગી જાય, હાથનો દુરુપયોગ કરે તો હાથ તૂટી જાય. એટલે જેનો દુરુપયોગ કરે તે ફળ ભોગવવું પડે, અહીં આગળ. (પા.૪૦)નિર્દોષ બાળકોને કેમ ભોગવવાનું ?પ્રશ્નકર્તા : ઘણી વખત એવું જોવામાં આવે છે કે નાનાં બાળકો જન્મે છે ત્યાંથી જ અપંગ ને એવાં હોય છે. પાંગળાં હોય છે. કેટલાક નાના છોકરાંઓ કુતુબમિનાર ને હિમાલય દર્શનની દુર્ઘટનાઓમાં મરી જાય છે. તો કહે, આ નાનાં નાનાં બાળકોએ શું પાપ કરેલું હશે, તે એમને એવું થાય છે ? દાદાશ્રી : પાપ કરેલું જ, એનો હિસાબ ચૂકતે થયો. એટલે દોઢ વર્ષનો થયો, મા-બાપ જોડે ને બધાનો હિસાબ પૂરો થયો એટલે જતો રહ્યો. હિસાબ ચૂકતે કરવો જોઈએ. આ હિસાબ ચૂકતે કરવા માટે આવે છે. પ્રશ્નકર્તા : મા-બાપે કરેલા દુષ્કૃત્યનું ફળ આપવા માટે પેલું બાળક આવેલું હતું ? દાદાશ્રી : મા-બાપ જોડે જે હિસાબ ગોઠવાયેલો છે. જેટલું દુઃખ આપવાનું હોય તો દુઃખ આપી જાય અને સુખ આપવાનું હોય તો સુખ આપીને જાય અને એક-બે વર્ષનો મરી જાય, તે થોડુંક જ દુઃખ આપીને જાય અને એક બાવીસ વર્ષનો પરણીને મરી જાય તો વધારે દુઃખ આપે. એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : એ તો બને, બરોબર છે. દાદાશ્રી : એટલે આ દુઃખ આપવા માટે હોય છે ને કેટલાક છે તે મોટી ઉંમરના થઈને સુખ આપે છે. છેક સુધી આખી જિંદગી સુખ આપે છે. એ દુઃખ ને સુખ આપવા માટે જ બધા સામસામી સંબંધ છે. આ રિલેટિવ સંબંધ છે. આજના કુકર્મોનું ફળ આ ભવમાં જ ?પ્રશ્નકર્તા : આ જે કર્મનું ફળ આવે છે. તો ધારો કે દાખલા તરીકે આપણે કો’કનાં વિવાહમાં ફાચર મારી. તો પછી પાછું એવું જ ફળ (પા.૪૧)આપણને આવતા ભવમાં મળે ? આપણા વિવાહમાં કોઈ એ જ માણસ ફાચર મારે ? એવી રીતનું બને ખરું, કર્મનું ફળ ? એવા જ પ્રકારે અને એવી ડીગ્રી ? દાદાશ્રી : ના, આ ભવમાં મળે. વિવાહમાં ફાચર મારો, એ તો પ્રત્યક્ષ જેવું જ કહેવાય અને પ્રત્યક્ષનાં ફળ અહીં જ મળે. પ્રશ્નકર્તા : આપણે કોઈના વિવાહમાં ફાચર મારી, તે પહેલાં આપણે વિવાહ કરી લીધા હોય તો ક્યાંથી મળે ? દાદાશ્રી : ના, એ એવું એ જ જાતનું ફળ મળે, એવું નહીં. એ તમે એનું જે મન દુખાડ્યું એવું તમારું મન દુખવાનો રસ્તો જડશે. એ તો કો’કને છોડીઓ ના હોય, શી રીતે ફળ આપે ? બીજા લોકોની છોડીઓને ફાચર મારે અને પોતાને છોડીઓ હોય નહીં અને આ ભવમાં જ કર્મનું ફળ મળે. આ ભવમાં જ ફળ મળ્યા વગર રહે નહીં. એવું છે ને, પરોક્ષ કર્મનું ફળ આવતા ભવમાં મળે અને પ્રત્યક્ષનું ફળ આ ભવમાં મળે. પ્રશ્નકર્તા : પરોક્ષ શબ્દનો અર્થ શું ? દાદાશ્રી : જે આપણને જણાતું નથી તે કર્મ. પ્રશ્નકર્તા : કોઈ માણસનું દસ લાખ રૂપિયાનું નુકસાન કરવાના મેં ભાવ કર્યા હોય તો મને એવું જ નુકસાન પાછું મળે ? દાદાશ્રી : ના, નુકસાન નહીં. એ તો બીજા રૂપમાં, તમને એટલું જ દુઃખ થાય. જેટલું દુઃખ એને તમે ધર્યું એટલું જ દુઃખ તમને થાય. પછી છોકરો રૂપિયા વાપરી નાખીને દુઃખી કરે કે ગમે તે રસ્તે, પણ એટલું જ દુઃખ થાય તમને. એ બધો આ હિસાબ નહીં, બહારનો હિસાબ નહીં. એટલે આ ભીખારાં બોલે છે ને બધાં અહીં, રસ્તામાં બોલતો’તો એક જણ, ‘એ તો અમે ભીખ માંગીએ છીએ, તે અમે આપેલું છે, તે તમે પાછું આપો છો.’ નાગું બોલે એ તો, ‘તમે આપો છો, તે અમે આપેલું છે તે આપો છો અને નહીં તો અમે તમને આપીશું’ કહે છે. (પા.૪૨)બેમાંથી એક તો થાય ! ના, એવું નથી. તમે કોઈની આંતરડી ઠારી, તમારી આંતરડી ઠારશે. તમે એની આંતરડી દુખાડી તો દુખાશે, બસ. આ બધાં કર્મ છેવટે રાગ-દ્વેષમાં જાય છે. રાગ-દ્વેષનું ફળ મળે છે. રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ મળશે. પ્રશ્નકર્તા : આ જે આપે કહ્યું ને કે રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ તો આ છે તો પરોક્ષ ફળની વાત છે કે પ્રત્યક્ષ ફળની ? દાદાશ્રી : પ્રત્યક્ષ નર્યું, એવું છે ને, રાગથી પુણ્યૈ બંધાય અને પુણ્યૈથી લક્ષ્મી મળી. હવે લક્ષ્મી મળી, પણ વપરાતી વખતે પાછું દુઃખ આપીને જાય એટલે આ બધાં સુખ જે તમે લો છો, એ લોન ઉપરનાં સુખ છે. માટે જો ફરી પેમેન્ટ કરવાનાં હોય તો જ લેજો આ સુખ. હા, તો જ સુખ ચાખજો, નહીં તો ચાખશો નહીં. હવે આપણે ભરવાની શક્તિ નથી, હવે પાછું પેમેન્ટ કરવાની, તો એ ચાખવાનું બંધ કરી દો. બાકી, આ લોન ઉપરનાં સુખ છે બધાં. કોઈ પણ પ્રકારનું સુખ એ લોન ઉપર લીધેલું છે. પુણ્યનું ફળ સુખ, પણ સુખેય લોન ઉપરનું અને પાપનું ફળ દુઃખ, દુઃખેય લોન ઉપરનું. એટલે બધું લોન ઉપર છે આ બધું. તો સોદો ના કરવો હોય તો ના કરશો. તેથી પુણ્ય ને પાપ હેય (ત્યજવા યોગ્ય) ગણ્યાં. પ્રશ્નકર્તા : આ પહેલાં આપેલું હોય અને અત્યારે પાછું લઈએ, એટલે હિસાબ ચૂકતે થયો. એટલે એને તો લોન પર લીધેલું ના કહેવાય ને ? દાદાશ્રી : અત્યારે જે સુખો ચાખો છો, એ બધાં પાછાં આવેલાં નથી, પણ ચાખો છો આ બધાં. તે પેમેન્ટ કરવું પડશે. હવે પેમેન્ટ તે કેવી રીતે કરવું પડે ? કેરી સરસ ખાધી, તો તે દહાડે ખુશ થઈ ગયા અને સુખ ઉત્પન્ન થયું આપણને. આનંદમાં દિવસ ગયો. પણ બીજી વખતે કેરી ખરાબ આવશે, તે એટલું જ દુઃખ આવશે. પણ જો આમાં સુખ ના લો, તો એ દુઃખ નહીં આવે. (પા.૪૩)પ્રશ્નકર્તા : એમાં મૂર્છા ન હોય તો ? દાદાશ્રી : તો પછી કેરી ખાવામાં વાંધો નહીં. સાધો સાસુ સાથે સુમેળપ્રશ્નકર્તા : સાસુ સાથે મારે ખૂબ અથડામણો થાય છે, તેનાથી શી રીતે છૂટવું ? દાદાશ્રી : એકે એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવાં જોઈએ, કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં, પછી એને તો કોઈ શું કરે ? સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે. આપણું કર્મ બંધાય નહીં એવી રીતે આપણે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલાં તેથી તો આ ભેગાં થયેલાં છે. આ આપણાં ઘરે ભેગાં કોણ થયેલાં છે ? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તોય સામો મોંમાં આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર ! બધાં પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ? પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને ! દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો છું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે. બાકી, છુટકારો થાય નહીં. અમે કોઈના દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ (પા.૪૪)દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકુ સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે. જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ આપણો હિસાબ છે. કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. ‘જ્ઞાની’ તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુક્ત થયા, જ્યારે અજ્ઞાની ધક્કા મારે ને નવાં કર્મ બાંધે. સામો ગાળો ભાંડે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્તમાત્ર છે. એવી જાગૃતિ રહે તો નવું કર્મ ના બંધાય. દરેક કર્મ એની નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે. ઉદયકર્મમાં રાગ-દ્વેષ ના કરવા, એનું નામ ધર્મ. પોતે જ પાડ્યા અંતરાયો ?પ્રશ્નકર્તા : આપણે સત્સંગમાં આવીએ છીએ તો ત્યાં કોઈ માણસ અવરોધ કરે છે. તે અવરોધ આપણા કર્મને લીધે છે ? દાદાશ્રી : હા. તમારી ભૂલ ના હોય તો કોઈ નામ ના લે. તમારી ભૂલનાં જ પરિણામ છે. પોતાનાં જ બાંધેલાં અંતરાય કર્મ છે. કરેલાં કર્મના હિસાબ બધા ભોગવવાના છે. પ્રશ્નકર્તા : એ ભૂલ આપણે ગયા જનમમાં કરેલી ? દાદાશ્રી : હા, ગયા જનમમાં. પ્રશ્નકર્તા : અત્યારનું મારું વર્તન એમની પ્રત્યે સારું છે. છતાંય પેલા બોલે, ખરાબ વર્તન કરે છે, તો ગયા જનમનું છે ? દાદાશ્રી : ગયા અવતારના કર્મ એટલે શું ? યોજના રૂપે કરેલાં હોય. એટલે મનના વિચારથી કર્મ કરેલાં હોય, તે અત્યારે રૂપકમાં આવે (પા.૪૫)અને તે આપણે કાર્ય કરવું પડે. ન કરવું હોય તોય કરવું જ પડે. આપણે છૂટકો જ ના થાય. એવાં કાર્ય કરીએ છીએ. તે પાછલી યોજનારૂપના આધારે કરીએ છીએ અને પછી તેનુ ફળ પાછું ભોગવવું પડે. પતિ-પત્નીની અથડામણોમાંકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ આ ધણી બૈરીને કૈડે છે, બૈરી ધણીને કૈડે છે એ બહુ વસમું હોય છે. કૈડે કે ના કૈડે ? પ્રશ્નકર્તા : કૈડે. દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માંકણ કૈડે છે, એ તો કૈડીને જતા રહે. બિચારો એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે. પણ બૈરી તો કાયમ કૈડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કૈડે છે ! ત્યારે મૂઆ, પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય મૂઓ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને ! પ્રશ્નકર્તા : એના કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું, એટલે એ કરડે છે, એમાં વાઈફનો વાંક નથી ! દાદાશ્રી : બસ. એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે. સાસુ એવાં મળી આવે. નહીં તો આ દુનિયામાં કેવી કેવી સારી સાસુઓ હોય છે, ધણી કેવા કેવા સારા હોય છે ! બૈરી કેવી કેવી સારી હોય છે, ને આપણને જ આવા વાંકા કેમ ભેગા થયા ?! આ તો બૈરી જોડે લઢવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે. બૈરી, તે નિમિત્ત છે. નિમિત્તને શું કરવા બચકાં ભરે છે ? નિમિત્તને બચકાં ભરે, તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય બધી. આ તો લોકોની શું ગતિ થવાની છે, એ કહેતા નથી એટલે ભડકતા નથી. જો (પા.૪૬)કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે, તો હમણા ડાહ્યા થઈ જાય. પ્રશ્નકર્તા : એમાં કોનું કર્મ ખરાબ સમજવું ? બન્ને ધણી-ધણીયાણી લઢતા હોય તેમાં ? દાદાશ્રી : બેમાંથી જે કંટાળે એનું ? પ્રશ્નકર્તા : તે એમાં તો કોઈ કંટાળે જ નહીં, એ તો લડ્યા જ કરે. દાદાશ્રી : તો બન્નેનું ભેગું. અણસમજણથી બધું થાય છે. પ્રશ્નકર્તા : અને એ સમજ આવી જાય તો દુઃખ જ નથીને કંઈ ! દાદાશ્રી : એ સમજે તો કશું દુઃખ જ નથી. આ તો એવું છે, એક છોકરો કાંકરો મારે, તો પછી એને મારવા ફરી વળે અને ગુસ્સે થઈ જાય એકદમ. ગુસ્સે થાય કે ના થાય ? અને ડુંગર ઉપરથી કાંકરો માથે પડે ને લોહી નીકળે તો ? કોની જોડે ગુસ્સો કરે ? પ્રશ્નકર્તા : કોઈ ઉપર નહીં. દાદાશ્રી : એવી રીતે આ છે. હંમેશાં જે મારનાર છેને એ નિમિત્ત જ છે, એ તો ભાન નથી તેથી આ ગુસ્સો કરે છે ! આવું નિમિત્ત, સમજે તો દુઃખ જ નથી ! સુખ આપી સુખ લોજેમ આપણે બાવળિયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને ? જેવું વાવીએ એવું ફળ મળે. જેવાં જેવાં કર્મ કર્યાં છે એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કો’કને ગાળ ભાંડી, તે દહાડાનું પેલાની ગાંઠમાં જ હોય કે ક્યારેક ભેગો થાય ને આપી દઉં. લોક બદલા વાળે, માટે આવાં કર્મ ના કરવાં કે લોકો દુઃખી થાય. આપણે જો સુખ જોઈતું હોય તો સુખ આપો. (પા.૪૭)કોઈ બે ગાળો ભાંડી જાય તો શું કરવું જોઈએ ? જમે કરી દેવાનું. પૂર્વે આપેલી છે તે પાછી આપી ગયો છે અને જો ગમતી હોય તો બીજી બે-પાંચ ગાળો ધીરવી અને ના ગમતી હોય તો ધીરવી નહીં, નહીં તો એ પાછી આપશે ત્યારે સહન નહીં થાય. માટે જે જે ધીરે એ જમે કરવું. આ દુનિયામાં અન્યાય નથી. બિલકુલ એક સેકન્ડ પણ ન્યાયની બહાર ગઈ નથી આ દુનિયા. માટે એ તમે જો પદ્ધતિસર હશો તો તમારું કોઈ નામ દેનાર નથી. હા, બે ગાળો આપવા આવે તો લઈ લો. લઈને જમે કરી લેવાની અને કહી દેવાનું કે આ હિસાબ પતી ગયો. ક્લેશ, એ નથી ઉદયકર્મજાણ્યું તો કોનું નામ કહેવાય, ઘરમાં મતભેદ ના હોય, મનભેદ ના હોય, ક્લેશ-કંકાસ ના હોય. આ તો મહિનામાં એકાદ દહાડો ક્લેશ થઈ જાય કે ના થઈ જાય ઘરમાં ? પછી એ જીવન કેમ કહેવાય ? આથી તો આદિવાસીઓ સારી રીતે જીવે છે. પ્રશ્નકર્તા : પણ ઉદયકર્મને આધીન હશે, તો ક્લેશ-કંકાસ થવાનો જ ? દાદાશ્રી : ના ક્લેશ ઉદયકર્મના આધીન નથી પણ અજ્ઞાનથી ઊભા થાય છે. ક્લેશ ઊભા થાય છે ને, તે નવાં કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી. અજ્ઞાનતાથી પોતે અહીં કેમ વર્તવું, તે જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય. અત્યારે મારા એક ખાસ ફ્રેન્ડ હોય, તે ઓફ થઈ ગયા એવી ખબર અહીં લાવીને મને આપે, એટલે તરત જ આ શું થયું, જ્ઞાનથી મને એનું પૃથક્કરણ થઈ જાય, એટલે પછી મને ક્લેશ થવાનું કોઈ કારણ જ નથી ને ! આ તો અજ્ઞાન મૂંઝવી નાખે કે મારો ભઈબંધ મરી ગયો ને, એ બધું ક્લેશ કરાવે ! એટલે ક્લેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી ક્લેશ બધા ઊભા થાય (પા.૪૮)છે. અજ્ઞાનતા જાય તો ક્લેશ દૂર થઈ જાય. બધું શું છે, એ જાણી લેવું જોઈએ. સાધારણ રીતે આપણે ઘરમાં એક માટલી હોય, તે છોકરો ફોડી નાખે તો કોઈ ક્લેશ કરતું નથી અને કાચનું આવડું વાસણ હોય એ ફોડી નાખે તો ? ધણી શું કહે બઈને ? તું સાચવતી નથી આ બાબાને, તો મૂઆ માટલીમાં કેમ ના બોલ્યા ? ત્યારે કહે, એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ નહોતી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતા અને કિંમતવાળામાં ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બેઉ ઉદયકર્મને આધીન ફૂટે છે ને ! પણ જો આપણે માટલી ઉપર ક્લેશ નથી કરતા ! એક માણસના બે હજાર રૂપિયા ખોવાઈ જાય, તે એને માનસિક ચિંતા-ઉપાધિ થાય. બીજા એક માણસને ખોવાઈ જાય તો એ કહેશે, ‘આ કર્મના ઉદય હશે તે થયું હવે.’ એટલે આમ સમજણ હોય તો નિવેડો લાવે, નહીં તો ક્લેશ થઈ જાય. પૂર્વજન્મના કર્મમાં ક્લેશ નથી હોતો. ક્લેશ તો અત્યારની અજ્ઞાનતાનું ફળ છે. કેટલાક માણસોના બે હજાર જતા રહે તો કશી અસર ના થાય. એવું બને કે ના બને ? કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધાં દુઃખો એ આપણી અજ્ઞાનતાનાં છે. કેટલાક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાક લોકો તો, અંદર દુઃખે ને બાહ્ય પણ દુઃખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથાં ફોડીને મરી જઉં તોય એનો ફેરફાર થવાનો નથી. પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ ? દાદાશ્રી : હા, પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ (પા.૪૯)લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય તે ? સમજવાની જરૂર છે, જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. કંઈ બધાનો મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા એ તો હોવી જોઈએ ને ! અમંગલ પત્ર, પોસ્ટમેનનો શું ગુનો ?દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, ‘ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાઝું ?’ એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધાં દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું. પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ? દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. બાપ મરી ગયા ને કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ? પૂર્વભવના ઋણાનુબંધીઓપ્રશ્નકર્તા : આપણા જે સગાંવહાલાં હોય અથવા તો વાઈફ હોય, છોકરાં હોય, આજે આપણાં જે સગાં ઋણાનુબંધી હોય છે, એમની જોડે આપણે કંઈ પૂર્વભવનું કંઈ સંબંધ હોય છે માટે ભેગાં થાય છે ? દાદાશ્રી : ખરું. ઋણાનુબંધ વગર તો કશું હોય જ નહીં ને ! બધા હિસાબ છે. આપણે કાં તો એમને ગોદા માર્યા છે અગર ગોદા એમણે આપણને માર્યા છે. ઉપકાર કર્યા હશે, તો એનું ફળ અત્યારે મીઠું આવશે. ગોદા માર્યા હશે, તેનું કડવું આવશે. (પા.૫૦)પ્રશ્નકર્તા : ધારો કે અત્યારે મને કોઈ ભાઈ કંઈ ગોદો મારે છે અને મને દુઃખ થાય છે, તો એ દુઃખ મને થાય છે એ તો મારા જ કર્મનાં ફળ છે. પણ એ ભાઈ જ મને ગોદો મારે છે, માટે એમને ગયા ભવમાં કંઈ મારી જોડે કંઈ એવો હિસાબ બંધાયો હશે, માટે એ જ મને ગોદો મારે છે, એવું કંઈ ખરું ? દાદાશ્રી : ખરુંને. બધો હિસાબ. જેટલો હિસાબ હોય એટલા વખત મારે. બેનો હિસાબ હોય તો બે ગોદા મારે, ત્રણનો હિસાબ હોય તો ત્રણ મારે. આ મરચું ગોદો ના મારે ? પ્રશ્નકર્તા : મારે. દાદાશ્રી : મોઢે લહાય બળે, નહીં ? એવું આ બધું. પોતે નહીં મારતા, પુદ્ગલ ગોદા મારે છે અને આપણે જાણીએ કે આ એ મારે છે. એ ગુનો છે પાછો. પુદ્ગલ ગોદા મારે છે. મરચું ગોદા મારે છે તો પાછું ક્યાં નાખે છે એને ?! મરચું કોઈ દી ગોદો મારે તેથી આપણે સમજી જવું કે ભઈ એમાં ગોદો ખાનારનો દોષ છે. મરચું એના સ્વભાવમાં જ છે. પ્રશ્નકર્તા : આપણે પણ કોઈને ગોદો મારીએ અને એને દુઃખ થાય, તો શું કરવું ? દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું પડે. કપડાં તો ચોખ્ખાં રાખવાં પડે ને ! મેલાં કેમ કરાય તે ! છેલ્લામાં છેલ્લું વર્તન, કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય એવું હોવું જોઈએ. તો અત્યારે દુઃખ થાય, તેનું પ્રતિક્રમણ કરીએ તો છેલ્લી દશા આવે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે ?પ્રશ્નકર્તા : એક મહાન સંત બે વર્ષ પહેલાં એક હોસ્પિટલમાં ખૂબ પીડાતા હતા. ત્યાં મેં પ્રશ્ન એમને પૂછેલો કે કેમ તમને આવું થાય છે ? (પા.૫૧)તો એમ કહે કે મેં ઘણાં માણસોનાં દુઃખો લઈ લીધાં છે. એટલે આ બધું મને થાય છે. એવું કોઈ કરી શકે ? દાદાશ્રી : કોઈનું દુઃખ કોઈ લઈ શકે નહીં. આ તો બહાના કાઢ્યાં સંત તરીકે પૂજાઈને ! પોતાના જ કૉઝીઝનાં આ પરિણામ છે. આ તો બહાનું કાઢે છે, પોતાની આબરૂ રહે એટલા માટે. મોટા દુઃખ લેનારા પાક્યા ! સંડાસ જવાની શક્તિ નથી. એ શું દુઃખ લેવાના હતા તે ! કોઈ કોઈનું લઈ શી રીતે શકે ? પ્રશ્નકર્તા : હુંય નથી માનતો. દુઃખ લઈ શકાય જ નહીં. દાદાશ્રી : ના, ના ! આ તો લોકોને મૂરખ બનાવે છે. કોઈ લઈ શકે જ નહીં. એટલે આ તો બધું એ બહાના કાઢવાના ! પછી પૂજાય ! હું તો મોઢા ઉપર કહી દઉં કે તમારાં દુઃખ તમે ભોગવી રહ્યા છો. શું જોઈને આવું બોલો છો ? મોટા દુઃખ લેવાવાળા આવ્યા. પ્રશ્નકર્તા : દુઃખ આપી તો શકાય ને ? દાદાશ્રી : એ દુઃખ લઈ શકતો નથી અને જે કોઈ આપણને દુઃખ આપી શકે, એ તો આપણી ઈફેક્ટ છે. આપી શકે તેય ઈફેક્ટ છે ને લઈ શકે તેય ઈફેક્ટ છે. ઈફેક્ટ એટલે ઈટ હેપન્સ, કોઈ કર્તા નહીં ! ભયાનક દર્દો, પાપકર્મેપ્રશ્નકર્તા : કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મનાં કોઈ પાપ નડે છે. એ સાચી વાત છે ? દાદાશ્રી : હા. પાપથી રોગ થાય અને પાપ ના હોય તો રોગ ના થાય. તેં કોઈ રોગવાળાને જોયેલા ? પ્રશ્નકર્તા : મારા માતૃશ્રી હમણાં જ બે મહિના ઉપર કેન્સરથી ગયાં. દાદાશ્રી : એ તો બધું પાપકર્મના ઉદયથી બને. પાપકર્મનો ઉદય હોય ત્યારે કેન્સર થાય. આ બધું હાર્ટએટેક ને એ પેલા પાપકર્મથી બધું (પા.૫૨)થાય છે. નર્યાં પાપો જ બાંધ્યાં છે, આ કાળના જીવોએ, ધંધા જ એ, આખો દહાડો પાપકર્મ જ કર્યા કરે છે. ભાન નથી એટલે. જો ભાન હોત તો આવું ના કરત ! પ્રશ્નકર્તા : એમણે આખી જિંદગી ભક્તિ કરેલી, તો એમને કેમ કેન્સર થયું ? દાદાશ્રી : ભક્તિ કરી, એનું ફળ તો હજુ હવે આવશે. આવતા જનમમાં મળશે. આ પાછલા જન્મનું ફળ અત્યારે મળ્યું અને અત્યારે તમે સારા ઘઉં વાવી રહ્યા છો, તો આવતા ભવમાં તમને ઘઉં મળશે. પ્રશ્નકર્તા : કર્મને લીધે રોગ થાય, તો દવાથી કેમ મટે છે ? દાદાશ્રી : હા. એ રોગમાં એ જ પાપ કરેલાંને, તે પાપ અણસમજણથી કરેલાં એટલે આ દવાથી મદદ મળી આવે અને હેલ્પ થઈ જાય. સમજણપૂર્વક કર્યાં હોય તેની દવા-બવા કોઈ મળે નહીં, દવા ભેગી જ ના થાય. અણસમજણથી કરનારાં છે, બિચારાં ! અણસમજણથી પાપ કરેલાં છોડે નહીં અને સમજણવાળાનેય છોડે નહીં. પણ અણસમજણવાળાને કંઈક મદદ મળી આવે અને સમજણવાળાને ના મળે. એ છે પારકાને પજવ્યાનું પરિણામપ્રશ્નકર્તા : શરીરના સુખ-દુઃખ આપણે ભોગવીએ છીએ એ વ્યાધિ હોય કે ગમે તે આવતું હોય, તે પૂર્વેનાં ક્યા પ્રકારનાં કર્મોનાં પરિણામો હોય ? દાદાશ્રી : આમાં તો એવું છે, કેટલાય લોકો અણસમજણમાં બિલાડીને મારી નાખે. કૂતરાંને મારી નાખે, ખૂબ દુઃખ દે છે, હેરાન કરે છે. એ તો દુઃખ દે છે, એ ઘડીએ પોતાને ભાન નથી હોતું કે જવાબદારી શું આવશે ? નાની ઉંમરમાં બિલાડીનાં બચ્ચાં મારી નાખે. કૂતરાના બચ્ચાં મારી નાખે અને બીજું આ દાકતરો દેડકાં કાપે છે, એ એનો પડઘો એના શરીર પર પડવાનો. જે તમે કરી રહ્યા છો, તેનો જ પડઘો પડશે. પડઘા છે આ બધા. (પા.૫૩)પ્રશ્નકર્તા : એટલે અન્યના શરીર સાથે કરેલા ચેડાંના પડઘા પડે છે ? દાદાશ્રી : હા. એ જ. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવું, એ તમારા જ શરીર પર આવશે. પ્રશ્નકર્તા : એટલે એણે જ્યારે આ બધું કર્યું હોય, જીવોને ચીર્યા હોય તો તે વખતે તે અજ્ઞાન દશામાં હોય ને ! એને એવો વેરભાવ પણ ના હોય, તોય એને ભોગવવું પડે ? દાદાશ્રી : ભૂલથી, અજ્ઞાન દશામાં હાથ દેવતામાં પડે ને, તે દેવતા ફળ આપે જ. એટલે કોઈ છોડે નહીં. અજ્ઞાન કે સજ્ઞાન, અભાનતા કે સભાનતા, ભોગવવાની રીત જુદી હોય છે. પણ બાકી કશું છોડે નહીં ! આ બધા લોકો દુઃખ ભોગવી રહ્યા છે એ પોતાનો જ હિસાબ છે બધો. તેથી ભગવાને કહ્યું કે મન-વચન-કાયાથી અહિંસા પાળ. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું કર, જો તારે સુખી થવું હોય તો ! પ્રશ્નકર્તા : કોઈ મહાત્મા હોય તેણે ડૉક્ટર ના બનવું જોઈએ ? દાદાશ્રી : થવું ના જોઈએ કે થવું જોઈએ, એ ડિફરન્ટ મેટર છે. એ તો એની પ્રકૃતિ પ્રમાણે થયા જ કરવાનું. બાકી, મનમાં ભાવ આવો હોવો જોઈએ. એટલે એ દાકતરની લાઈનમાં જવાય જ નહીં પછી. કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો ભાવ જેનો છે, એ ત્યાં આગળ કેમ દેડકાં મારે ? પ્રશ્નકર્તા : બીજી બાજુ ડૉક્ટરી શીખીને હજારો લોકોનાં દર્દ મટાડીને ફાયદો પણ કરે છે ને ? દાદાશ્રી : એ દુનિયાનો વ્યવહાર છે. એ ફાયદો ના કહેવાય. મંદ મગજનાને કર્મ બંધન કેવું ?પ્રશ્નકર્તા : જે સારો માણસ હોય તો એને જાતજાતના વિચારો (પા.૫૪)આવે, મિનિટમાં કેટલાય વિચાર કરી નાખે. કર્મ બાંધી નાખે અને મંદ મગજનાને તો સમજણ જ ના હોય કશી એટલે એને તો કશું હોય જ નહીં, નિર્દોષ હોય ને ! દાદાશ્રી : એ સમજણવાળા સમજણનાં કર્મ બાંધે ને ના સમજણવાળા ના સમજણનાં કર્મ બાંધે. પણ ના સમજણવાળાનાં કર્મ બહુ જાડાં હોય અને સમજણવાળા તો વિવેક સહિત આમ બાંધે. એટલે પેલો છે એના કર્મ બધાં જંગલી જેવાં હોય, જાનવર જેવાં, એને સમજણ જ નથી, ભાન જ નહીં પછી, એ તો કો’ક દેખે ને ઢેખાળો મારવા તૈયાર થઈ જાય. પ્રશ્નકર્તા : આપણે એવા માણસની દયા ન રાખવી જોઈએ ? દાદાશ્રી : રાખવી જ જોઈએ. જેને સમજણ ના હોય, તેના તરફ દયાભાવ રાખવો જોઈએ. એને હેલ્પ કરવી જોઈએ કંઈક. મગજની ખરાબી, એને લઈને બિચારો આવો હોય, તેમાં પછી એનો શો દોષ ? એ ઢેખાળો મારી જાય તોય આપણે એની સાથે વેર નહીં રાખતા, એની પર કરુણા રાખવી જોઈએ ! ગરીબ-અમીર કયા કર્મે ?જે બને છે તે જ ન્યાય માનવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પ્રશ્નકર્તા : તો દાદા, તમને નથી લાગતું કે, બે માણસ હોય, એક માણસ જોતો હોય કે આ માણસ આટલો બધો ખરાબ, છતાં પણ આટલી સારી સ્થિતિમાં છે અને હું આટલો ધર્મપારાયણ છું તો આવો દુઃખી છું. તો એનું મન ધર્મમાંથી નહીં ફરી જાય ? દાદાશ્રી : એવું છે ને આ જે દુઃખી છે એ કંઈ બધાય ધર્મ પારાયણવાળા દુઃખી હોતા નથી. સેકડે પાંચ ટકા સુખીય હોય છે. આજે જે દુઃખ આવ્યું છે, તે આપણા જ કર્મનું પરિણામ છે. આજે એ જે સુખી થયેલો છે, આજે એની પાસે પૈસા છે ને એ સુખ ભોગવી (પા.૫૫)રહ્યો છે, એ એના કર્મનું પરિણામ છે. અને હવે જે ખરાબ કરી રહ્યો છે એનું પરિણામ આવશે, ત્યારે એ ભોગવશે. આપણે જે હવે સારું કરી રહ્યા છીએ, તેનું પરિણામ આપણે આવશે ત્યારે ભોગવીશું. પ્રશ્નકર્તા : દાદા, આ તમારી વાત સાચી છે. પણ એક વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ કે એક માણસ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય. સામે મહેલમાં એક માણસ રહેતો હોય. ઝૂંપડીવાળો જુએ છે કે મારી આમ દશા કેવી છે. હું તો આટલો બધો પ્રમાણિક છું. નોકરી કરું છું. તો મારાં છોકરાંને ખાવા નથી મળતું. ત્યારે આ માણસ તો આટલું બધું ઊંધું કરે છે છતાં એ મહેલમાં રહે છે. તો એને ગુસ્સો ના થાય ? એ કેમ સ્થિરતા રાખી શકે ? દાદાશ્રી : અત્યારે જે દુઃખ ભોગવી રહ્યો છે, તે પહેલાંની પરીક્ષા આપી છે તેનું પરિણામ આવી રહ્યું છે અને પેલો એણે ય પરીક્ષા આપી છે, તેનું આ પરિણામ આવ્યું છે. પાસ થયો છે ને હવે ફરી નાપાસ થવાનાં પાછાં લક્ષણો ઊભાં થયાં છે એને. અને આને પાસ થવાનાં લક્ષણો ઊભાં થયાં છે. પ્રશ્નકર્તા : પણ પેલો ગરીબ માણસ, એની પોતાની માનસિક સ્થિતિ જ્યાં સુધી પરિપક્વ ન હોય ત્યાં સુધી ક્યાંથી સમજે એ ? દાદાશ્રી : એ આવે જ નહીં માન્યામાં. એટલે આમાં ઊલટું છે તે વધારે પાપ બાંધે. એણે એ જાણવું જ જોઈએ કે મારા જ કર્મનું પરિણામ છે. કરીએ સારું ને ફળ ખરાબપ્રશ્નકર્તા : આપણે સારું કરીએ પણ એનું ફળ સારું ના મળે. એનો અર્થ એવો થયો કે પૂર્વજન્મનાં કંઈક ખરાબ કર્મ હશે. તે એને કેન્સલ કરી નાખે છે. દાદાશ્રી : હા, કરી નાખે. આપણે છે તે જુવાર તો વાવી અને મોટી (પા.૫૬)થઈ અને પૂર્વભવનું આપણું ખરાબ કર્મ ઉદય થાય, તે છેલ્લો વરસાદ ના પડે, તે સૂકાઈ જાય બધું ય અને પુણ્ય જોર કરે તો થઈ જાય તૈયાર. હાથમાં આવેલું ખૂંચવાઈ જાય. માટે સારાં કર્મો કરો. નહીં તો મુક્તિ ખોળો. બેમાંથી એક રસ્તો લો ! આ દુનિયામાંથી છૂટી જવાનું ખોળો, કાં તો સારાં કર્મ કરો, કાયમને માટે. પણ કાયમને માટે સારાં કર્મ થાય નહીં માણસથી, ઊંધે રસ્તે ચઢી જ જવાનો. કુસંગ મળ્યા જ કરે. પ્રશ્નકર્તા : શુભ કર્મ ને અશુભ કર્મ ઓળખવાનું થર્મોમીટર ક્યું ? દાદાશ્રી : શુભ કર્મ આવે ત્યારે આપણને મીઠાશ લાગે, શાંતિ લાગે, વાતાવરણ શાંત લાગે અને અશુભ આવે ત્યારે કડવાટ ઉત્પન્ન થાય, મનને ચેન પડે નહીં. અયુક્ત કર્મ તપાવડાવે અને યુક્ત કર્મ હૃદયને આનંદ આપે. મૃત્યુ પછી જોડે શું જાય ?પ્રશ્નકર્તા : શુભ અને અશુભ જે કર્મો છે, એનું જે પરિણામ છે એ હવે બીજી જે પણ કોઈ યોનિમાં જાય, ત્યાં એને ભોગવવું પડે ને ? દાદાશ્રી : ત્યાં ભોગવવું જ પડે. એટલે અહીંથી મૃત્યુ થાય એટલે મૂળ શુદ્ધાત્મા જાય છે. જોડે શુભાશુભ જે આખી જિંદગીમાં કર્મો કર્યાં તે યોજનારૂપે, એટલે કારણ શરીર કહેવાય છે એને, કૉઝલ બોડી, પછી સૂક્ષ્મ બોડી એટલે ઈલેક્ટ્રિકલ બોડી. આ બધું સાથે જવાનું. બીજું કશું જતું નથી. પ્રશ્નકર્તા : મનુષ્ય જન્મ જે મળે છે, તે ફરી ફરી મળે છે કે પછી પાછો અમુક વખત મનુષ્યમાં આવીને પાછું બીજી યોનિમાં એને જવું પડે ? દાદાશ્રી : બધી યોનિઓમાં અહીંથી જવાનું. અત્યારે લગભગ સીત્તેર ટકા માણસો ચાર પગમાં જવાના છે. અહીંથી સીત્તેર ટકા ! અને વસ્તી ઝપાટાબંધ ખલાસ થઈ જશે. (પા.૫૭)એટલે માણસમાંથી જાનવરેય થાય, દેવ થાય, નર્કગતિ થાય અને ફરી મનુષ્યેય થાય. જેવાં જેવાં કર્મ કર્યાં હોય તેવાં તેવાં થાય. લોકો પાશવતાને લાયક એવાં કર્મો કરે છે ખરા અત્યારે ? પ્રશ્નકર્તા : ઘણાં લોકો પાશવતાના જ કર્મો અત્યારે તો કરી રહ્યાં છે ને ! દાદાશ્રી : તો ત્યાંની ટિકિટ આવી ગઈ, રિઝર્વેશન થઈ ગયા. એટલે ભેળસેળ કરતો હોય, અણહક્કનું ખાઈ જતો હોય, ભોગવી લેતો હોય, આ જૂઠું બોલતો હોય, ચોરીઓ કરતો હોય, એ બધાની હવે નિંદા કરવાનો અર્થ જ શું છે ? એ એમની ટિકિટો મળી ગઈ છે એમને ! ચાર ગતિમાં ભટકણપ્રશ્નકર્તા : આ મનુષ્ય નીચ યોનિમાં જાય ખરો ? દાદાશ્રી : મનુષ્યમાંથી પછી તો દેવમાંય, મોટામાં મોટો દેવ થઈને ઊભો રહે, આ દુનિયામાં ટોપમોસ્ટ. અને નીચ યોનિ એટલે કેવી નીચ યોનિ તે ? ઘૃણાજનક યોનિમાં જાય. એનું નામ સાંભળતા જ ઘૃણા થાય. મનુષ્યભવમાં જ કર્મ બાંધી શકે છે માણસ. બાકી બીજા કોઈ અવતારમાં કર્મ બાંધતો નથી. બીજા બધા અવતારોમાં કર્મ ભોગવે છે. અને આ મનુષ્યમાં કર્મ બાંધે છેય ખરો ને ભોગવે છેય ખરો, બેઉ થાય છે. પાછલાં કર્મો ભોગવતા જાય છે ને નવાં બાંધે છે. એટલે અહીંથી ચારગતિમાં ભટકવાનું, અહીંથી જવાનું થાય છે અને આ ગાયો-ભેંસો, આ બધા જાનવરો દેખાય છે, આ દેવલોકો, એમને કર્મ ભોગવવાનાં ખાલી, એને કર્મý કરવાનો અધિકાર નથી. પ્રશ્નકર્તા : પણ લગભગ તો મનુષ્યના કર્મ સારાં થતાં જ નથી ને ? દાદાશ્રી : આ તો કળિયુગ છે ને દુષમકાળ છે, એટલે ઘણાંખરાં કર્મ ખરાબ જ થાય. (પા.૫૮)પ્રશ્નકર્તા : એટલે કે અહીંયાં બીજા નવાં કર્મો બંધાવાનાં જ ને ? દાદાશ્રી : રાત-દા’ડો બંધાયા જ કરે. જૂનાં ભોગવતો જાય ને નવાં બાંધતો જાય. પ્રશ્નકર્તા : તો આનાથી હવે બીજો કોઈ સારો ભવ ખરો ? દાદાશ્રી : કોઈ જગ્યાએ નહીં. આટલો જ સારો છે. બીજા તો બે જાતના ભવો. અહીં જો દેવું થઈ ગયું હોય, એટલે ખરાબ કર્મો બંધાયા હોય, એનું નામ દેવું. તે પછી આ જાનવરોમાં જવું પડે, ડેબિટ ભોગવવા માટે અને નર્કગતિમાં જવાનું તો, ડેબિટ વધારે થઈ ગયું હોય તો તે ત્યાં આગળ દેવું ભોગવીને પાછું આવવાનું, ડેબિટ ભોગવીને. અહીં સારાં કર્મ થયાં હોય તો મોટા ઊંચી જાતના મનુષ્યો થાય, ત્યાં આખી જિંદગી સુખ હોય. એ ભોગવીને પાછો હતો તેવો ને તેવો અને નહીં તો દેવગતિમાં જાય. ક્રેડિટનાં સુખો ભોગવવા માટે. પણ ક્રેડિટ પૂરી થઈ ગઈ, લાખ રૂપિયા પૂરા થઈ ગયા, વપરાઈ ગયા એટલે પાછો અહીં મૂઓ ! પ્રશ્નકર્તા : બીજા બધા ભવો કરતાં આ મનુષ્ય ભવનું આયુષ્ય વધારે ને ? દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. આ દેવલોકોને લાખો વર્ષનું આયુષ્ય. પ્રશ્નકર્તા : પણ દેવ થવા માટે તો આ બધાં કર્મો પૂરાં થાય પછી નંબર લાગે ને ? દાદાશ્રી : ના, એવું કશું નહીં. એ કોઈ સુપરહ્યુમન હોય તો દેવ જ થાય. પોતાનું સુખ પોતે ભોગવે નહીં ને બીજાને આપી દે, એ સુપરહ્યુમન કહેવાય. તે દેવગતિમાં જાય ! પ્રશ્નકર્તા : પોતાને સુખ ના હોય, તો પછી એ બીજાને કેવી રીતના સુખ આપી શકે ? દાદાશ્રી : એટલે જ ના આપી શકે ને પણ કો’ક એવો માણસ (પા.૫૯)હોય. કરોડોમાં એકાદ માણસ તે પોતાનું સુખ બીજાને આપી દેતો હોય, તે દેવગતિમાં જાય. પહેલાં તો આવાં બહુ માણસો હતા. સેકડે બબ્બે-ત્રણ ટકા, પાંચ-પાંચ ટકા હતા. અત્યારે તો કરોડોમાં બે-ચાર નીકળે વખતે. અત્યારે તો દુઃખ ના આપે તોય ડાહ્યો કહેવાય. બીજાને કંઈ પણ દુઃખ ના આપે તો ફરી મનુષ્યમાં આવે, મનુષ્યમાં સારી જગ્યાએ કે જ્યાં બંગલો તૈયાર હોય, ગાડીઓ તૈયાર હોય ત્યાં જન્મ થાય અને પાશવતાના કર્મો કરે, આ ભેળસેળ કરે, લુચ્ચાઈઓ કરે, ચોરીઓ કરે તો પશુમાં જવું પડે. પ્રશ્નકર્તા : તો કાયદો કેવો છે ? દાદાશ્રી : અધોગતિમાં જવાનો હોય તે પકડાઈ જતો નથી અને ઊર્ધ્વગતિમાં જે જાય એવાનાં હલકાં કર્મ હોય ને, તો એને પોલીસવાળાને પકડાવી જ દે તરત જ. તે આગળ ઊંધું જતાં અટકી જાય ને એના ભાવ ફરી જાય. કુદરત હેલ્પ કોને કરે છે ? કે જે ભારે છે તેને ભારે થવા દે છે. હલકો છે તેને હલકો થવા દે. હલકાવાળા ઊર્ધ્વગતિમાં જાય. ભારેવાળો અધોગતિમાં જાય. એટલે આ કુદરતના નિયમ છે એવા. હમણાં કોઈકે જેમ કોઈ દહાડો ચોરી ના કરી હોય ને એક વખત ચોરી કરેને તો તરત પકડાઈ જાય અને અઠંગ ચોર પકડાય નહીં. કારણ કે એના ભારે કર્મો છે એટલે એમાં પૂરા માર્કસ જોઈએ ને ! માઈનસ માર્કેય પણ પૂરા જોઈએ ને ! તો જ દુનિયા ચાલે ને ? મનુષ્યમાં જ બંધાય કર્મપ્રશ્નકર્તા : હું એટલે જ પૂછું છું કે મનુષ્ય ભવ સિવાય બીજો કોઈ એવો ભવ ખરો કે નહીં કે જેમાં ઓછા કર્મો બંધાતા હોય ? દાદાશ્રી : બીજે કર્મ જ બંધાતાં નથી. બીજા કોઈ અવતારમાં કર્મ બંધાતાં નથી, અહીં એકલા જ બંધાય છે અને જ્યાં નથી બંધાતાં એ લોકો શું કહે છે ? કે અહીં ક્યાં આ જેલમાં આયા ? કર્મ બંધાય એવી જગ્યા એ તો મુક્તપણું કહેવાય, આ તો જેલ કહેવાય. (પા.૬૦)પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારાં કર્મો પણ અહીંયાં જ બંધાય ને ? દાદાશ્રી : સારા કર્મો પણ અહીં જ બંધાય ને ખોટાંય અહીં બંધાય. આ મનુષ્યો કર્મ બાંધે છે. તેમાં જો લોકોને નુકસાન કરનારાં, લોકોને દુઃખ દેનારાં કર્મ હોય તો છે તે જનાવરમાં જાય ને નર્કગતિમાં જાય. લોકોને સુખ આપનારાં કર્મ હોય તો માણસમાં આવે ને દેવગતિમાં જાય. એટલે જેવાં કર્મ એ કરે છે તેના ઉપરથી ગતિ થાય છે. હવે ગતિ થઈ એટલે પછી ભોગવીને પછી પાછું અહીં આવવાનું. કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી, અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. અને જો કર્મ ના કરે, બિલકુલેય કર્મ જ ના કરે તો મોક્ષે જાય. મનુષ્યમાંથી મોક્ષે જવાય. બીજી કોઈ જગ્યાએથી મોક્ષે ના જવાય. કર્મ ના કરે એવું તમે જોયેલું ? પ્રશ્નકર્તા : ના, એવું નથી જોયું. દાદાશ્રી : તમે જોયેલા કર્મ ના કરે એવા ? એમણે જોયેલા છે ને તમે નથી જોયા ?! આ જાનવરો-બાનવરો બધા છે તે ખાય છે, પીએ છે, મારંમારા કરે છે, લઢમ્લઢા કરે છેતો ય કર્મ બંધાય નહીં એમને. એવું માણસને કર્મ ના બંધાય એવી સ્થિતિ છે. પણ ‘પોતે’ કર્મનો કર્તા ના થાય તો ને કર્મ ભોગવે એટલું જ ! એટલે અહીં અમારે ત્યાં આવે અને ‘સેલ્ફ રિયલાઈઝ’નું જ્ઞાન પ્રાપ્ત થાય તો કર્મનું કર્તાપણું છૂટી જાય, કરવાપણું છૂટી જાય, ભોગવવાનું રહે પછી. અહંકાર હોય ત્યાં સુધી કર્મનો કર્તા. આઠ અવતાર સુધીની સિલ્લક સાથેપ્રશ્નકર્તા : જે જે અવતારમાં કર્મ બંધાતાં નથી, ખાલી કર્મ (પા.૬૧)ભોગવવાં જ પડે છે, તો તે જીવનો પછીનો ભવ કેવી રીતે થાય ? દાદાશ્રી : આ એટલું બધું છે કે માણસ અહીંથી ગયો, તે ગાયનો અવતાર આવ્યો. તે ગાયનો અવતાર ભોગવે. પૂરો થઈ જાય, ત્યાર પછી બકરીનો અવતાર આવે, એ બકરીનો જ આવે એવું નહીં, ગમે તે અવતાર એનો હિસાબ હોય એ પ્રમાણે આવે. ડિઝાઈન હોય એ પ્રમાણે આવે. પછી, ગધેડાનો અવતાર આવે. સો-બસો વર્ષ આવું ભટકી આવે. એટલે બધું ભોગવાઈ જાય ડેબિટ. એટલે અહીંયાં મનુષ્ય જન્મમાં પાછો આવે. બીજે બધે એક અવતાર પછી બીજો અવતાર થાય, તે એમાં કર્મ કરવાથી નથી થતો. એ કર્મ ભોગવાઈ ગયાં તેથી થાય છે. એક આ પડ ગયું ને બીજું પડ આવ્યું, બીજું પડ ગયું ને ત્રીજું પડ આવ્યું, એવું બધા પડ ભોગવાઈ જાય એટલે બધા આઠ અવતાર પૂરા થાય ને અહીં મનુષ્યમાં આવતો રહે. વધુમાં વધુ આઠ અવતાર બીજી ગતિમાં ભટકીને પાછો મનુષ્યમાં આવી જ જાય. એવો કર્મનો નિયમ છે ! મનુષ્યોને લાયકનું કર્મ તો એની પાસે સિલ્લક રહે છે જ. જ્યાં જાય, દેવગતિમાં જાય તોય. એટલે સિલ્લકના આધારે પાછો ફરે છે. એટલે આ સિલ્લક રાખીને બીજા બધાં કર્મ ભોગવાઈ જાય છે. પ્રશ્નકર્તા : મનુષ્યમાં આવે છે, પછી એનું જીવન કઈ રીતે ચાલે ? એ એના ભાવ પર જ ચાલે ને ? એના કયા કર્મના આધારે એનું જીવન ચાલે ? દાદાશ્રી : એની પાસે મનુષ્યના કર્મ તો સિલ્લકમાં છે જ આ તો. આ સિલ્લક તો આપણી પાસે છે જ, પણ દેવું થઈ ગયું હોય તો દેવું ભોગવી આવો ને પછી પાછા આવો, કહે છે. ક્રેડિટ થઈ ગઈ હોય ત્યારે ક્રેડિટ ભોગવી પાછા અહીં આવો. આ તો સિલ્લક છે જ આપણી પાસે. આ સિલ્લક તો ખૂટે એવી નથી. આ સિલ્લક ક્યારે ખૂટે ? કે જ્યારે કર્તાપદ છૂટે ત્યારે છૂટે. ત્યારે મોક્ષે ચાલ્યો જાય. નહીં તો કર્તાપદ છૂટે જ નહીં ને ! અહંકાર ખલાસ થાય એટલે છૂટે. અહંકાર હોય એટલે પેલાં ભોગવીને પાછો અહીં ને અહીં મૂઓ હોય. (પા.૬૨)પ્રશ્નકર્તા : બીજી બધી યોનિઓમાંથી પાછો મનુષ્યમાં આવે, તો આવે તો ક્યાં આગળ જન્મ લે ? માછીમારમાં લે કે રાજામાં લે ? દાદાશ્રી : અહીં મનુષ્યમાં એની પાસે જે સામાન તૈયાર મૂકી ગયો છે ને તે બીજું આ દેવું ઉભું થયું છે તે દેવું વાળી આવે અને પછી ત્યાં નો ત્યાં જ આવે અને એ સામાનમાં (પાછું) ચાલુ કરે. એટલે આપણે જે બજારમાં જઈએ છીએ, તે બધા કામ પતાવીને પાછા ઘેરના ઘેર આવીએ છીએ. એવી રીતે આ ઘર છે. અહીંનું અહીં પાછું આવવાનું. અહીં આ ઘર છે. અહીં જ્યારે અહંકાર ખલાસ થઈ જશે ત્યારે અહીં પણ નહીં રહેવાનું. મોક્ષમાં જતું રહેવાનું બસ. હવે બીજા અવતારમાં અહંકાર વપરાતો નથી. જ્યાં ભોગવવાનું છે ત્યાં અહંકાર વપરાતો નથી. એટલે કર્મ જ બંધાતાં નથી. આ પાડાને, ગાયને, કોઈને અહંકાર ના હોય. દેખાય ખરો કે આ ઘોડો અહંકારી છે પણ એ ડિસ્ચાર્જ અહંકાર. સાચો અહંકાર નથી. સાચો અહંકાર હોય તો કર્મ બંધાય. એટલે અહંકારને લઈને પાછો અહીં આવ્યો છે. અહંકાર જો ખલાસ થઈ જાય તો મોક્ષે ચાલ્યો જાય. રિટર્ન ટિકિટ લીધેલી, જાનવરમાંથીપ્રશ્નકર્તા : આપે કહ્યું કે કર્મોનું ફળ મળે છે, તો આ જે જાનવરો છે તે પછી મનુષ્યમાં આવી શકે ખરાં ? દાદાશ્રી : એ જ આવે છે. એ જ અત્યારે આવ્યા છે, તેની વસ્તી વધી છે અને તે જ ભેળસેળ કરે છે આ બધા. પ્રશ્નકર્તા : એમણે પેલા જાનવરોએ કયાં સત્કર્મ કર્યાં હશે કે એ માનવ થયા ? દાદાશ્રી : એને સત્કર્મ કરવાનું ના હોય. હું તમને સમજાવું. એક માણસ દેવાદાર થયો. દેવાદાર થયો એટલે નાદાર કહેવાય. લોકો નાદાર કહે એને, તો પછી એણે દેવું આપી દીધું એટલે એને ફરી નાદાર કહે ખરા ? (પા.૬૩)પ્રશ્નકર્તા : ના, પછી ના કહે. દાદાશ્રી : તેવી રીતે અહીંથી જાનવરમાં જાયને, દેવું પતાવવા પૂરતું જ. દેવું ભોગવીને અહીં પાછો આવતો રહે અને દેવગતિમાં જાય તો ક્રેડિટ (લેણું) ભોગવીને પાછો અહીં જ આવે. આમ નોતરે અધોગતિપ્રશ્નકર્તા : મનુષ્યને જાનવરનો જ અવતાર મળે, એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : બધાં લક્ષણ જ કહી આપે એનાં. અત્યારે એના વિચાર છેને, તે વિચારો જ પાશવતાના આવે. કેવા આવે ? કોનું ભોગવી લઉં, કોનું ખઈ જઉં, કોનું એ કરું ? મરણ થતી વખતે ફોટો પણ જાનવરનો પડે. પ્રશ્નકર્તા : આંબાની ગોટલી આપણે વાવીએ તો આંબો જ થાય, એવું મનુષ્ય મરે તો મનુષ્યમાંથી પછી મનુષ્ય જ થાય ? દાદાશ્રી : હા, મનુષ્યમાંથી પછી એટલે આ મેટરનિટી વોર્ડમાં મનુષ્યની સ્ત્રીનાં પેટે કૂતરું ના આવે. સમજાય છે ને ! પણ મનુષ્યમાં જેને સજ્જનતાના વિચાર હોય એટલે માનવતાના ગુણો હોય તો ફરી મનુષ્યમાં આવે અને પોતાના હક્કનું ભોગવવા લોકોને આપી દે તો દેવગતિમાં જાય, સુપર હ્યુમન કહેવાય. અને પોતાની સ્ત્રી ભોગવવા માટે વાંધો નથી, એ હક્કનું કહેવાય, પણ અણહક્કનું ના ભોગવાય. એ ભોગવવાના વિચાર છે એ જ મનુષ્યમાંથી બીજે ભવે જાનવરમાં જવાની નિશાની છે એની. એ વિઝા છે, આપણે એનો વિઝા જોઈ લઈએ ને, તે ખબર પડી જાય. પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એવો છે કે મનુષ્યને એનાં કર્મો મનુષ્યયોનિમાં જ ભોગવવા પડે છે. દાદાશ્રી : ના. કર્મો તો અહીં ને અહીં જ ભોગવવાનાં. પણ જે (પા.૬૪)વિચારો કરેલા હોય કે કોનું ભોગવી લઉં ને કોનું લઈ લઉં ને કોનું એ કરી લઉં, એવા સંકલ્પ-વિકલ્પ કર્યા હોય, તે એને લઈ જાય ત્યાં. પેલા તો અહીં ને અહીં જ ભોગવી લે. પાશવતાનું કર્મ કર્યું હોય, તે તો અહીંનું અહીં ભોગવી લે. એનો વાંધો નહીં. આંખે દેખાય એવાં પાશવતાનાં કર્મ કર્યાં હોય તે અહીંનાં અહીં જ ભોગવવાં પડે. એ ભોગવે કેવી રીતે ? લોકોમાં નિંદા થાય, લોકોમાં હડધૂત થાય. પણ જે પાશવતાના વિચારો કર્યા, સંકલ્પ-વિકલ્પ ખરાબ કર્યા કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ભોગવવું જોઈએ. યોજનાઓ કરી. એ યોજના એને જાનવરગતિમાં લઈ જાય. યોજના ઘડે છેને મહીં ? નથી ઘડતા ? એ જાનવરગતિમાં લઈ જાય. આમાં ભોગવનારો કોણ ?પ્રશ્નકર્તા : સારાં કર્મ કરે તો પુણ્ય બંધાય અને ખોટાં કર્મ કરે તો પાપ. આ પાપ-પુણ્ય કોણ ભોગવે શરીર કે આત્મા ? દાદાશ્રી : આ પાપ-પુણ્ય જે કરે છે એ ભોગવે છે. કોણ ભોગવે છે ? અહંકાર કરે છે ને અહંકાર ભોગવે છે. શરીર ભોગવતું નથી ને આત્માય ભોગવતો નથી. એ અહંકાર ભોગવે છે. શરીર સાથેનો અહંકાર હોય તો શરીર સાથે ભોગવે. શરીર વગરનો અહંકાર શરીર વગર ભોગવે. માનસિક ખાલી ભોગવે. પ્રશ્નકર્તા : મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક જેવું છે ખરું ? દાદાશ્રી : મૃત્યુ પછી સ્વર્ગ ને નર્ક બન્નેય છે. પ્રશ્નકર્તા : એટલે ખરાબ કર્મ કર્યાં હોય તો નર્કમાં કોણ જાય ? આત્મા જાય ? દાદાશ્રી : વળી આત્મા ને શરીર બે ભેગું જ હોય ને ! પ્રશ્નકર્તા : મરી જાય ત્યારે શરીર તો અહીંયાં છૂટી ગયું હોય ને ? (પા.૬૫)દાદાશ્રી : ત્યાં શરીર પછી નવું બંધાય. નર્કનું શરીર જુદું બંધાય, ત્યાં પારા જેવું શરીર હોય. પ્રશ્નકર્તા : ત્યાં શરીર ભોગવે કે આત્મા ભોગવે ? દાદાશ્રી : અહંકાર ભોગવે. જેણે કરેલાં હોય ને, નર્કનાં કામ કર્યાં એ ભોગવે. હિટલરે બાંધ્યાં કેવાં કર્મ ?હિટલરે આ લોકોને માર્યા, તેનું ફળ કેમ ના મળ્યું ? એણે માર્યા, એ બધાં ભેગાં ક્યાંથી થયા ? એને આ પ્લેન ક્યાંથી ભેગાં થયાં ? આ બધું ભેગું ક્યાંથી થયું ? ભેગું થયું તો માર્યા એટલે આ કર્મફળ હતું એનું બિચારાનું ? આનુંય ફળ પાછું નર્કગતિ આવશે. શાસ્ત્રકારોએ પાછું કહ્યું, અહીં જે મરી ગયા અને જગતમાં નિંદનીય થઈ પડ્યા તો નર્કગતિ કે જાનવરમાં આવશે. જગતમાં જો કદી વખાણવા રૂપ થયા અને ખ્યાતિ એની ફેલાય તો દેવગતિ અગર મનુષ્યમાં મૂકાય બહુ તો ! એટલે આનું પાછું ફળ તો આવે. એટલે આ લોકોને તોલે જોઈ લેવું. સત્તાધીશનાં હિસાબો પ્રજાસંગપ્રશ્નકર્તા : આ એક દેશના સત્તાધીશ છે ને, ત્યાંના ધર્મગુરુ કહો કે અત્યારે સત્તા બધી એના હાથમાં છે. એ દેશના મેઈન કહેવાય અત્યારે એ. અત્યારે લાખો માણસો મરે છે. દુનિયાના બધા દેશોએ એને વિનંતી કરી કે તમે સમાધાન કરો. પણ એ સમાધાન કરવા તૈયાર નથી અને લાખો માણસોનું નિકંદન થાય જ છે. એ કેવું કર્મ ? એની સાથે લાખો માણસો સાથેનો ઋણાનુબંધ શો ? દાદાશ્રી : માણસો તો એ એના કર્મ ભોગવી રહ્યા છે અને એ બાંધી રહ્યા નથી, એ ભોગવી રહ્યા છે. પ્રશ્નકર્તા : અને પેલો જે મારી રહ્યો છે તેનું ? દાદાશ્રી : એ છે તો કર્મ બાંધી રહ્યો છે. એ નર્કગતિમાં જશે. (પા.૬૬)પ્રશ્નકર્તા : આ બધા મરી જાય છે. એનો નિમિત્ત તો આ મારનાર બને છે ને ? એ કયા કારણે ? દાદાશ્રી : નિમિત્ત બને છે અને તેથી એ નર્કે જશે. પ્રશ્નકર્તા : નર્કે જશે બરોબર છે. પણ આ બન્યું કેવી રીતે ? કયા હિસાબે બન્યું હોય ? દાદાશ્રી : લોકોનો હિસાબ, પેલા જોડેનો હિસાબ નહીં, લોકોએ ગુના કરેલા તેથી એવો નિમિત્ત મળી આવ્યો. લોકોએ ગુના કરેલા, એ કોઈ પણ નિમિત્ત મળી આવ્યું તે એમણે ખલાસ કરી નાખ્યા. આ બધાનું કર્મ એ વ્યક્તિગત નહીં. આ વ્યક્તિગત તો ક્યારે કહેવાય ? આમ તમે અમથા વાતચીત ના કરો અને તમને જોઉં અને મને મહીં ઉકળાટ થાય એ વ્યક્તિગત. છેટા રહીને કામ થાય એ વ્યક્તિગત ના કહેવાય. એ કહેવાય સામૂહિક કર્મોદયપ્રશ્નકર્તા : હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ? દાદાશ્રી : બધું વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થઈ કે જરાક કંઈ કાચું રહ્યું હોયને થોડુંક ભેગું થયું કે ફૂટ્યું હડહડાટ. પ્રશ્નકર્તા : આ વાવાઝોડું વ્યવસ્થિત મોકલે ? દાદાશ્રી : તો બીજું કોણ મોકલે ? એ તો વાવાઝોડું આખા મુંબઈ પર હોય, પણ કેટલાય માણસને, વાવાઝોડું આવ્યું છે કે નહીં ? એમ કરીને પૂછે. ‘અલ્યા મૂઆ, પૂછો છો ?’ ત્યારે કહે, ‘અમે જોયેલું નથી હજુ તો, અહીં આવ્યું નથી અમારે ત્યાં.’ એવું બધું આ તો. વાવાઝોડું મુંબઈમાં બધાને ના સ્પર્શે. કોઈને અમુક જાતનું સ્પર્શે, કોઈને આખું મકાન ઊડાડી દે હડહડાટ અને કોઈની સાદડીઓ પડી રહેલી હોય, નામ (પા.૬૭)ના દે. બધું પદ્ધતિસર કામ કરી રહ્યું છે. વાવાઝોડું આવે તેથી ભો રાખવાનો નથી. બધું વ્યવસ્થિત મોકલે છે. પ્રશ્નકર્તા : આ બધા ધરતીકંપ થાય, સાયક્લોન (વાવાઝોડાં) થાય, લડાઈ થાય, એ બધું હાનિ-વૃદ્ધિના આધારે નહીં ? દાદાશ્રી : ના. કર્મના ઉદયને આધારે એ બધું. બધા ઉદય ભોગવી રહ્યા છે. મનુષ્યોની વૃદ્ધિ થતી હોય ને તોય ધરતીકંપ થયા કરે. જો હાનિ-વૃદ્ધિને આધીન હોય તો ના થાયને ? પ્રશ્નકર્તા : જેને ભોગવવાનો છે એનો ઉદય ? દાદાશ્રી : મનુષ્યોનો ઉદય, જાનવરો ને બધાને. હા, સામૂહિક ઉદય આવે. જુઓને, આ હીરોશીમા ને નાગાસાકીને ઉદય આવ્યો હતો ને ! પ્રશ્નકર્તા : જેવી રીતે એક જણે પાપ કર્યું, એવી રીતે સામૂહિક પાપ કરે, એનો બદલો સામૂહિક રીતે મળે ? એક જણ એ પોતે ચોરી કરવા ગયો અને દસ જણાં સાથે ધાડ પાડવા ગયા. તો એનો દંડ સામૂહિક મળતો હશે ? દાદાશ્રી : હા. ફળ સંપૂર્ણ મળવાનું, પણ દસેયને ઓછું-વધતું. એના કેવા ભાવ છે તે ઉપર. કોઈક માણસ તો એમ કહેતો હોય કે આ મારા કાકાની જગ્યાએ મારે પરાણે જવું પડ્યું, એવા ભાવ હોય. એટલે જેવો સ્ટ્રોંગ ભાવ છે, એ ઉપર હિસાબ બધા ચૂકવવાના. બિલકુલ કરેક્ટ. ધર્મના કાંટા જેવું. પ્રશ્નકર્તા : પણ જે આ કુદરતી કોપ થતા હશે, આ કોઈ જગ્યાએ પ્લેન પડ્યું ને આટલા મરી ગયા ને કોઈ જગ્યાએ કોઈ પેલો જ્વાળામુખી ફાટ્યો ને બે હજાર જણ મરી ગયા, એ બધા એક સાથેના એ સામૂહિક દંડનું પરિણામ હશે એ ? દાદાશ્રી : એ બધાનો હિસાબ બધો. એટલા હિસાબવાળા જ (પા.૬૮)પકડાઈ જાય એમાં, કોઈ બીજો પકડાય નહીં. આજ મુંબઈ ગયો હોયને ત્યાર પછી કાલે ધરતીકંપ અહીં થાય અને મુંબઈવાળા અહીં આવ્યા હોય. તે મુંબઈવાળા અહીં મૂઆ હોય, એટલે બધો હિસાબ. પ્રશ્નકર્તા : એટલે અત્યારે જે આટલા બધા જ્યાં ત્યાં બધા મરે છે, તે કોઈ પાંચસો-બસો ને બધી સંખ્યામાં. જે પહેલાં કોઈ દહાડો આટલા બધા, સમૂહમાં મરતા જોવામાં નહોતા આવતા તો આટલું બધું સમૂહમાં પાપ થતું હશે ? દાદાશ્રી : પહેલાં સમૂહ હતાય નહીં ને ! અત્યારે તો લાલ વાવટાવાળા નીકળ્યા હોય તો કેટલા હોય ? એ ધોળા વાવટાવાળા કેટલા હોય ? અત્યારે સમૂહ છે તે સમૂહનાં કામ. પહેલાં સમૂહ હતા ય નહીં ને ! પ્રશ્નકર્તા : હં.... એટલે કુદરતી કોપ એ સમૂહનું જ પરિણામ ને ! આ અનાવૃષ્ટિ થવી, આ કોઈ જગ્યાએ ખૂબ પૂર આવી જવાં, કોઈ જગ્યાએ ધરતીકંપ થઈને લાખો મરી જવા. દાદાશ્રી : બધું આ લોકોનું પરિણામ. પ્રશ્નકર્તા : એટલે જે વખતે દંડમાં આવવાનો હોય, ત્યારે ગમે ત્યાંથી ખેંચાઈને અહીં આવી જ ગયો હોય ? દાદાશ્રી : એ કુદરત જ લાવી નાખે ત્યાં અને બાફી નાખે, શેકી નાખે. એને પ્લેનમાં લાવીને પ્લેન પાડે. પ્રશ્નકર્તા : હા દાદા. એવા દાખલા જોવામાં આવે છે કે જે જનારો હોય, તે કોઈ કારણસર રહી જાય અને કોઈ દહાડો ના જનારો હોય, તે પેલાની ટિકિટ લઈને મહીં બેસી ગયો હોય. પછી પ્લેન પડી ભાંગે. દાદાશ્રી : હિસાબ બધો. પદ્ધતસર ન્યાય. બિલકુલ ધર્મના કાંટા જેવું. કારણ કે એનો માલિક નથી, માલિક હોય તો તો અન્યાય થાય. (પા.૬૯)પ્રશ્નકર્તા : એર ઇન્ડિયાનું પ્લેન તૂટી ગયું. એ બધાનું નિમિત્ત હતું, આ વ્યવસ્થિત હતું ? દાદાશ્રી : હિસાબ જ. હિસાબ વગર કશું બને નહીં. પાપ-પુણ્યનું ન થાય પ્લસ-માઈનસપ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે, ભોગવટામાં ? દાદાશ્રી : ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે સો પુણ્ય કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ. પ્રશ્નકર્તા : દાદા, આપણે અહંકાર વગર કોઈ પણ સત્કર્મ થાય અથવા કોઈ સંસ્થાને, હોસ્પિટલ કે એને પૈસા આપે તો આપણાં કર્મો પ્રમાણે જે ભોગવવું પડે એ ઓછું થાય એ સાચી વાત ? દાદાશ્રી : ના, ઓછું ના થાય. ઓછું-વધતું ના થાય. એ બીજાં કર્મ બંધાય. બીજાં પુણ્યૈનાં કર્મ બંધાય. પણ તે આપણે કો’કને ગોદો મારી આવ્યા એનું ફળ તો ભોગવવું પડે, નહીં તો જાણે બધા વેપારી લોકો પેલા બાદ કરીને પછી નફો એકલો જ રાખે. એ એવું નથી. કાયદા બહુ સુંદર છે. એક ગોદો માર્યો હોય તેનું ફળ આવશે. સો પુણ્યમાંથી બે બાદ નહીં થાય. બે પાપેય ખરું અને સો પેલું પુણ્ય પણ ખરું. બન્ને જુદાં ભોગવવાનાં. પ્રશ્નકર્તા : એટલે આ શુભ કર્મ કરીએ અને અશુભ કર્મ કરીએ, બન્નેનું ફળ જુદું મળે ? દાદાશ્રી : અશુભનું અશુભ ફળ આપે જ. શુભનું શુભ આપશે. (પા.૭૦)કશું ઓછું-વત્તું થાય નહીં. ભગવાનને ત્યાં કાયદો કેવો છે ? કે તમે આજે શુભકર્મ કર્યું એટલે સો રૂપિયા દાન આપ્યા, તો સો રૂપિયા જમે કરે એ અને પાછા પાંચ રૂપિયા કો’કને ગાળ ભાંડી ઉધાર્યા, તમારે ખાતે ઉધારે એ. એ પંચાણું જમે ના કરે. એ પાંચ ઉધારેય કરે ને સો જમેય કરે. બહુ પાકા છે. નહીં તો આ વેપારી લોકોને ફરી દુઃખ જ ના પડે. એવું હોય ને તો જમે-ઉધાર કરીને એમનું જમે જ હોય અને તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. અહીં આગળ આખો દા’ડો પુણ્ય ને પુણ્ય હોય. પછી કોણ જાય મોક્ષે ? આ કાયદો જ એવો છે કે સો જમે કરે ને પાંચ ઉધારેય કરે. બાદબાકી કરવાની નહીં. એટલે માણસને જમે કર્યું હોય તે પાછું ભોગવવું પડે, તે પુણ્યૈ ગમે નહીં પાછું, બહુ પુણ્ય ભેગું થયેલું હોય ને, દસ દા’ડા, પંદર દા’ડા જમવાનું કરવાનું, બધું લગન-બગન ચાલતાં હોય, ગમે નહીં, કંટાળો આવે. બહુ પુણ્યમાંય કંટાળો આવે. બહુ પાપમાંય કંટાળો આવે. પંદર દા’ડા સુધી સેન્ટ ને અત્તરો આમ ઘસઘસ કરતાં હોય, જમાડો ખૂબ, તોય ખીચડી ખાવા ઘેર નાસી જાય. કારણ કે આ સાચું સુખ નથી. આ કલ્પેલું સુખ છે. સાચું સુખ કોઈ દા’ડો અભાવેય ના થાય. એ આત્માનું જે સાચું સુખ છે, એનો અભાવ ક્યારે ય પણ ના થાય. આ તો કલ્પિત સુખ છે. કર્મબંધનમાંથી મુક્તિનો માર્ગ...પ્રશ્નકર્તા : પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો ? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે સારાં કે ખોટાં કર્મ બધા કરેલાં જ છે, તો એનાથી ઉકેલ લાવવાનો શો રસ્તો ? દાદાશ્રી : આ કો’ક તને હેરાન કરતું હોય, તો તું હવે સમજી જઉં કે મેં એમની જોડે પૂર્વભવમાં ખરાબ કર્મ કર્યાં છે, તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને સમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાથી ને ફરી બીજ નાખું તું. એટલે પૂર્વજન્મનાં બંધન ઉકેલવાનો એક જ રસ્તો, શાંતિ અને સમતા. એના માટે ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું (પા.૭૧)જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારાં પાપને આધારે જ, હું જ મારાં પાપ ભોગવી રહ્યો છું, એવું લાગવું જોઈએ, તો છુટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે. એ તો નિમિત્ત છે. આખું જગત નિમિત્ત છે, દુઃખ દેનાર, સો ડોલર રસ્તામાં લઈ લેનારા, બધાય નિમિત્ત છે. તમારો જ હિસાબ છે. તમને આ ઈનામ ક્યાંથી પહેલા નંબરનું લાગ્યું ? આમને કેમ નથી લાગતું ? સો ડોલર લઈ લીધા, એ ઈનામ ના કહેવાય ? પ્રાર્થનાનું મહત્વ, કર્મ ભોગવટામાંપ્રશ્નકર્તા : દાદા, હું પ્રશ્ન એમ પૂછતો હતો કે જે પ્રારબ્ધ તો બની ગયું છે, કોઈને માંદુ પડવાનું છે કે કોઈને કંઈ નુકસાન જવાનું છે, તો પ્રાર્થનાથી એ બદલાય ખરું ? દાદાશ્રી : એવું છે ને, પ્રારબ્ધના ભાગ છે. પ્રારબ્ધના પ્રકાર હોય છે. એક પ્રકાર એવો હોય છે એ પ્રાર્થના કરવાથી ઊડી જાય. બીજો પ્રકાર એવો છે કે તમે સાધારણ પુરુષાર્થ કરો તો ઊડી જાય અને ત્રીજો પ્રકાર એવો છે કે તમે ગમે તેટલો પુરુષાર્થ કરોને ભોગવ્યા વગર છૂટકો જ ના થાય. બહુ ચીકણો હોય. તે કોઈ માણસ આપણી ઉપર, કપડાં ઉપર થૂંક્યો, એને આમ ધોવા જઈએ તો મોળું હોય તો પાણી રેડીએ તો ધોવાઈ જાય. બહુ ચીકણું હોય તો ? પ્રશ્નકર્તા : ના નીકળે. દાદાશ્રી : એવી જ રીતે કર્મો ચીકણાં હોય છે. એને નિકાચિત કર્મ કહ્યાં. પ્રશ્નકર્તા : પણ કર્મ બહુ ચીકણું હોય તોય પ્રાર્થનાથી કશો ફેર ના પડે ? દાદાશ્રી : કશું ફેર ના પડે. પણ પ્રાર્થનાથી તે ઘડીએ સુખ થાય. પ્રશ્નકર્તા : ભોગવવાની શક્તિ મળે ? (પા.૭૨)દાદાશ્રી : નહીં, એ તમારે જે દુઃખ આવ્યું છે ને ! દુઃખમાં સુખનો ભાગ લાગે, પ્રાર્થનાને લઈને. પણ પ્રાર્થના રહી શકવી, એ મુશ્કેલ છે. આ સંજોગો ખરાબ હોય અને મન જ્યારે બગડેલું હોય તે ઘડીએ પ્રાર્થના રહેવી મુશ્કેલ છે. રહે તો બહુ ઉત્તમતા કહેવાય. તે દાદા ભગવાન જેવાને સંભારીને બોલાવો ત્યારે, કે જે શરીરમાં પોતે રહેતા ના હોય. શરીરના માલિક ના હોય એમને જો સંભારીને બોલાવે તો રહે, નહીંતર ના રહે. પ્રશ્નકર્તા : નહીં તો તે સંજોગોમાં પ્રાર્થના યાદ જ ના આવે ? દાદાશ્રી : યાદ જ ન આવે. યાદ જ ઉડાડી મેલે, ભાન જ ઊડી જાય બધું. દેવ-દેવીની બાધાનું બંધન ?પ્રશ્નકર્તા : કોઈ પણ દેવ-દેવીની બાધા રાખવાથી કર્મબંધન થાય ખરું ? દાદાશ્રી : બાધા રાખવાથી કર્મબંધન અવશ્ય થાય. બાધા એટલે શું કે એમની પાસેથી આપણે મહેરબાની માંગી. એટલે એ મહેરબાની કરેય ખરાં, એટલે તમે એમને બદલો આપો. અને તેથી જ કર્મ બંધાય. પ્રશ્નકર્તા : સંત પુરુષના સહવાસથી કર્મબંધન છૂટે ખરાં ? દાદાશ્રી : કર્મબંધન ઓછાં થઈ જાય અને પુણ્યનાં કર્મ બંધાય પણ એ એને નુકસાન ન કરે. પેલા પાપનાં ના બંધાય. જાગૃતિ કર્મબંધનની સામે...પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય, એના માટે રસ્તો શું ? દાદાશ્રી : આ કહ્યું ને, તરત જ ભગવાનને કહી દેવું આ, અરેરે ! મેં આવા આવા ખરાબ વિચાર કર્યા. હવે જે આવ્યા છે એ તો એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે પણ મારે તો આ અત્યારે ક્યાંથી મૂઆ ! એ મેં હિસાબ બાંધ્યો. તેની ક્ષમા માંગુ છું, ફરી આવું નહીં કરું. (પા.૭૩)પ્રશ્નકર્તા : કોઈ ખૂન કરે અને પછી પાછો ભગવાનને આવો પસ્તાવો કરીને કહે, તો કેવી રીતના છૂટે કર્મ ? દાદાશ્રી : હા, છૂટે. ખૂન કરીને રાજી થાય તો કર્મ ખરાબ બંધાય ને ખૂન કરીને આવો પસ્તાવો કરવાથી કર્મ હલકું થાય ! પ્રશ્નકર્તા : ગમે તે કરે તોય કર્મ તો બંધાયું જ ને ? દાદાશ્રી : બંધાઈ ને છૂટેય છે. ખૂન થયું ને એ કર્મ છૂટ્યું છે. તે વખતે બંધાય ક્યારે ? મનમાં એમ થાય કે આ ખૂન કરવાં જ જોઈએ. તો ફરી નવું બંધાયું. આ કર્મ પૂરું છૂટ્યું કે છૂટતી વખતે પસ્તાવો કરીએ ને, તો છૂટાશે. માર્યો એ બહુ મોટું નુકસાન કરે. આ માર્યો તેની અપકીર્તિ થશે, શરીરમાં જાત જાતના રોગ ઉત્પન્ન થઈ જશે, ભોગવવા પડશે. અહીંનું અહીં જ ભોગવવાનું. નવું કર્મ ચીકણું નહીં બંધાય. આ કર્મફળ છે, એ ભોગવવાનું. માર્યો તે જ કર્મના ઉદયથી માર્યો અને માર્યો એટલે કર્મફળ ભોગવવાનું પણ સાચા દિલથી પસ્તાવો લે તો નવાં કર્મ ઢીલાં થઈ જાય. મારવાથી નવું કર્મ બંધાય ક્યારે ? કે મારવો જ જોઈએ, એ નવું કર્મ. રાજીખુશીથી મારે તો કર્મ ચીકણું બંધાય અને પસ્તાવાપૂર્વક કરે તો કર્મ ઢીલાં થઈ જાય. ઉલ્હાસે બાંધેલાં કર્મ પશ્ચાત્તાપે કરીને નાશ પામે. એક મુસલમાનને એના બીબી ને છોકરાં પજવતાં હોય કે માંસાહાર તમે ખવડાવતા નથી. ત્યારે કહે, પૈસા નથી, શું ખવડાવું ? તો કહે, હરણ મારી લાવો. તો છાનોમાનો જઈને હરણ મારી લાવ્યો અને ખવડાવ્યું. હવે એને દોષ બેઠો અને એવું ને એવું હરણ એક રાજાનો છોકરો હતો, તે શિકાર કરવા ગયો. તે શિકાર કરીને ખુશ થઈ ગયો. હવે પેલાં હરણ તો બેઉ મર્યાં. આ એના મોજશોખની માટે મારે છે, પેલો ખાવા માટે મારે છે. હવે જે ખાય છે, એને આનું ફળ મનુષ્યમાંથી જાનવર થાય, તે મુસલમાન ! અને રાજાનો છોકરો શોખ-મોજ શોખ માટે કરે છે, ખાતો નથી, સામાને મારી નાખે છે. પોતાના કંઈ પણ લાભ વગર, પોતાને કંઈ લાભ બીજો થતો નથી અને નકામો શિકાર (પા.૭૪)કરીને મારી નાખે છે. માટે એનું ફળ નર્કગતિ આવે છે. કર્મ એક જ પ્રકારનું પણ ભાવ જુદા જુદા. પેલો તો એના છોકરા માથાકૂટ કરે એટલા હારુ બિચારો અને આ તો મોજશોખને માટે જીવો મારે, શિકારનો શોખ હોય છે ને ! પછી ત્યાંનું ત્યાં હરણું પડી રહે, એની કંઈ પડેલી નહીં. પણ શું કહે પાછો ? જો એક્ઝેક્ટ ધાર્યુ ને આવું પાડ્યું એને. આ ટ્રાફિકના લૉઝ આપણે ના સમજીએ, તો પછી ટ્રાફિકમાં મારી જ નાખેને, સામસામી ! પણ એ તો આવડે બધાને ! ‘આ’ આવડે એવા નથી, એટલે અમારા જેવા શીખવાડનારા જોઈએ. ફાંસીની સજાનું જજને શું બંધન ?એક જજ મને કહે કે, ‘સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાન્તદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, ‘એને શું કરશો, દેહાન્તદંડની શિક્ષા નહીં આપો તો ?!’ એણે કહ્યું, ‘પણ આપું તો મારે દોષ બેસે.’ પછી મેં એને રીત બતાવી કે તમારે આ કહેવું કે, ‘હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?’ અને તેનું દિલથી પ્રતિક્રમણ કરજો ને બીજું, ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યે જજો. પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત-ઠેસ લાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ? દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યા કરીએ ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય, એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવા પડે. આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાના, બીજી જવાબદારી આપણી નથી. હંમેશાં કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આવે. તે બળેલી દોરડી આવતે ભવ આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી (પા.૭૫)એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું, ખંખેરી કે ઊડી ગઈ. જપ-તપથી કર્મ બંધાય કે ખપે ?પ્રશ્નકર્તા : જપ-તપમાં કર્મ બંધાય કે કર્મ ખપે ? દાદાશ્રી : એમાં કર્મ જ બંધાય ને ! દરેક બાબતમાં કર્મ જ બંધાય. રાત્રે સૂઈ જાય તોય કર્મ બંધાય અને આ જપ-તપ કરે, એમાં તો મોટાં કર્મ બંધાય. પણ એ પુણ્યનાં બંધાય. તેનાંથી આવતા ભવે ભૌતિક સુખો મળે છે. પ્રશ્નકર્તા : તો કર્મ ખપાવવા માટે ધર્મની શક્તિ કેટલી ? દાદાશ્રી : ધર્મ-અધર્મ બેઉ કર્મો ખપાવી આપે. સાંસારિક બંધાયેલાં કર્મો ને, વિજ્ઞાન હોય તો તરત કર્મને નાશ કરી દે. વિજ્ઞાન હોય તો કર્મ નાશ થાય. ધર્મથી પુણ્યકર્મ બંધાય અને અધર્મથી પાપકર્મ બંધાય અને આત્મજ્ઞાનથી કર્મો નાશ, ભસ્મીભૂત થઈ જાય. પ્રશ્નકર્તા : ધર્મ અને અધર્મ, બેઉને ખપાવતો હોય તો એને ધર્મ કેમ કહેવાય ? દાદાશ્રી : ધર્મથી પુણ્યના કર્મ બંધાય અને અધર્મથી પાપનાં કર્મ બંધાય. હમણાં ધોલ મારે ત્યારે શું થાય ? કો’ક ધોલ મારે તો શું કરો તમે ? એને બે આપી દો ને ! ડબલ કરીને આપે. ખોટ ખવડાવ્યા વિના આપે છે, એટલું ડબલ કરીને. એ તમારા પાપનો ઉદય આવ્યો, તેથી પેલાને ધોલ મારવાનું મન થયું. તમારો કર્મનો ઉદય તમને બીજા પાસે ધોલ મરાવડાવે છે, પેલો નિમિત્ત બન્યો. હવે એક ધોલ આપે, તો આપણે કહી દેવાનું કે પતી ગયો હિસાબ આપણો. હું જમે કરી દઉં છું ને જમે કરી દેવાનો. પહેલાં આપેલી, તે પાછો આપી ગયો. જમે કરી દેવાનું, નવું ધીરવું નહીં. ગમતું હોય તો ધીરવું. ગમે ખરું ? નહીં ? તો ધીરવું નહીં. (પા.૭૬)આપણાં પુણ્યનો ઉદયકર્મ હોય તો સામો સારું બોલે ને પાપનો ઉદયકર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં કોનો દોષ ? માટે આપણે કહેવું કે ઉદયકર્મ મારો જ છે અને સામો તો નિમિત્ત. આમ કરવાથી આપણો દોષ નિર્જરી જશે. ને નવો નહીં બંધાય. કર્મ-અકર્મ દશાની સ્થિતિપ્રશ્નકર્તા : કોઈ પણ ખોટું કામ કરીએ એટલે કર્મ તો બંધાય જ એવું હું માનું છું. દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ? પ્રશ્નકર્તા : સારું ને ખોટું, બેઉથી કર્મ બંધાયને ! દાદાશ્રી : અરે ! અત્યારે હઉ તમે કર્મ બાંધી રહ્યો છો ! અત્યારે તમે બહુ પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારેય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ? પ્રશ્નકર્તા : કંઈ પ્રવૃતિ તો કરતા જ હોઈશું ને સારી અગર ખરાબ ? દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં, એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છૂટ્યા હશે ? આ દેહ હોય તો કર્મ તો થયા જ કરવાના ! સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ? પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યા હોય, એનાં ફળ પાછાં ભોગવવાં પડે ને ! દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં. એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ આ ભવમાં મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું તો કંઈક રસ્તો તો હશે ને, કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ? પ્રશ્નકર્તા : હશે. (પા.૭૭)દાદાશ્રી : તમને એવી ઈચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે. એ વિજ્ઞાન જાણો એટલે છૂટો થાય. નડે અજ્ઞાનતા, નહીં કર્મ રે...પ્રશ્નકર્તા : આપણાં કર્મનાં ફળને લીધે આ જન્મ મળે છે ને ? દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મનાં ફળ ભોગવવાનાં છે ! અને જો રાગ-દ્વેષ કરે તો એમાંથી નવાં કર્મ ઊભાં થાય છે. જો રાગ-દ્વેષ ના કરે તો કશુંય નથી. કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ, પણ રાગ-દ્વેષ કરે તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ. આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતા ના હોય તો જવાબદાર નથી. આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને મોક્ષે ચાલ્યા જાવ. અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને, એટલે ‘અમે’ સ્વીકારીએ નહીં. ‘અમને’ અડે જ નહીં, અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય. વીતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી, તારી અજ્ઞાનતા નડે છે ! અજ્ઞાનતા શેની ? ‘હું કોણ છું’ એની. દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાન જાય એટલે કર્મ બંધાતા બંધ થઈ જાય ! (પા.૭૮)કર્મની નિર્જરા ક્યારે થાય ?પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ? દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું શુદ્ધાત્મા થઉં ત્યાર પછી કર્મબંધ અટકશે, કર્મની નિર્જરા થયા કરે અને કર્મ થતાં અટકે ! એટલે કર્મ ના બંધાય, તેનો રસ્તો શું ? સ્વભાવ ભાવમાં આવવું તે. ‘જ્ઞાની પુરુષ’ પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, પછી કર્મ ના બંધાય. પછી નવાં કર્મો ચાર્જ ના થાય. જૂનાં કર્મો ડિસ્ચાર્જ થયા કરે ને બધાં જ કર્મો પૂરાં થઈ જાય એટલે અંતે મોક્ષ થાય ! આ કર્મની વાત તમને સમજણ પડી આમાં ! જો કર્તા થાય તો કર્મ બંધાય. હવે કર્તાપણું છૂટી જાય, એટલે પછી કર્મ બાંધે નહી.ં એટલે તમે આજે કર્મ બાંધો છો, પણ જ્યારે હું તમને કર્તાપણું છોડાવી દઈશ એટલે તમને કર્મ બંધાશે નહીં અને જૂનાં છે તે ભોગવી લેવાનાં. જૂનો હિસાબ એટલે ચૂકતે થઈ જાય અને ‘કૉઝ’ ઊભાં નહીં થાય. ‘ઈફેક્ટ’ એકલી રહેશે અને પછી ઈફેક્ટ પણ પૂરેપૂરી ભોગવાઈ જાય કે સંપૂર્ણ મોક્ષ થઈ ગયો ! - જય સચ્ચિદાનંદ |