દાદા ભગવાન પ્રરૂપિત
ક્લેશ વિનાનું જીવન
સંકલન : ડૉ. નીરુબેન અમીન
સંપાદકીયજીવન તો જીવી જવાય છે સહુ કોઈને, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય ! કળિયુગમાં તો ઘેર ઘેર રોજ સવારના પહોરમાં ચા-નાસ્તા જ ક્લેશથી થાય ! પછી આખા દિવસના ક્લેશના જમણ અને ફાકાઓની વાત જ શી કરવી ? અરે, સત્યુગ, દ્વાપર ને ત્રેતામાં ય મોટા મોટા પુરુષોના જીવનમાં ક્લેશ આવ્યા જ કરતા હતા. સાત્વિક પાંડવોને આખી જીંદગી કૌરવ સાથેની બાથ ભીડવાના વ્યૂહ ગોઠવવામાં જ ગઈ ! રામચંદ્રજી જેવાને વનવાસ અને સીતાના હરણથી માંડીને છેક અશ્વમેઘ યજ્ઞ થયો ત્યાં સુધી સંઘર્ષ જ રહ્યો ! હા, આધ્યાત્મિક સમજણ વડે તેઓ આ બધાંને સમતાભાવે પાર કરી ગયા એ એમની મહાન સિદ્ધિ ગણાય ! આ ક્લેશમય જીવન જાય તે તેનું મુખ્ય કારણ જ અણસમજણ ! ‘તમામ દુઃખોનું મૂળ તું પોતે જ છે !’ પરમ પૂજ્ય દાદાશ્રીનું આ વિધાન કેટલી ગહનતાથી દુઃખોના મૂળ કારણને ખુલ્લું કરે છે, જે ક્યારેય કોઈના મગજમાં જ ના આવે ! જીવન નૈયા કયે ગામ પૂગાડવી છે તે નક્કી કર્યા વિના, દિશા જાણ્યા વિના એને હંકાર્યે જ જાય, હંકાર્યે જ જાય તો મંઝિલ ક્યાંથી મળે ? હલેસાં મારી મારીને થાકી જાય, હારી જાય ને અંતે મધદરિયે ડૂબી જાય ! માટે જીવનનો ધ્યેય નક્કી કરવો અતિ અતિ આવશ્યક છે. ધ્યેય વિનાનું જીવન પટ્ટો લગાડ્યા વિનાનું ઈન્જીન ચલાવે રાખ્યા જેવું છે ! જો અંતિમ ધ્યેય જોઈતો હોય તો તે મોક્ષનો છે ને વચ્ચેનો જોઈતો હોય તો જીવન સુખમય ના હોય તો કંઈ નહીં પણ ક્લેશમય તો ના જ હોવું જોઈએ. દરરોજ સવારના દિલથી પાંચ વાર પ્રાર્થના કરવી કે ‘પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિતમાત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો !’ અને તેમ છતાં કોઈને ભૂલથી દુઃખ દેવાઈ જાય તો તેનો હૃદયપૂર્વક પસ્તાવો કરી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરી લઈ ધોઈ નાખવાથી જીવન ખરેખર શાંતિમય જાય છે. ઘરમાં મા-બાપ છોકરાં વચ્ચેની કચકચનો અંત સમજણથી જ આવે. આમાં મુખ્ય મા-બાપે જ સમજવાનું છે. અતિશય લાગણીઓ, મોહ, મમતા માર અવશ્ય ખવડાવે ને સ્વ-પરનું અહિત કરીને જ રહે. ‘ફરજ બજાવવાની છે, લાગણીના હિલોળાઓમાં ઝૂલવાનું ને પછી પડવાનું નથી.’ પરમ પૂજ્ય દાદાશ્રીએ મા-બાપ છોકરાંના વ્યવહારની ખૂબ જ ઊંડી સમજ ઉભયના ઊંડા માનસને સમજીને ખુલ્લી કરી છે, જેનાથી લાખોના જીવન સુધરી ગયાં છે ! પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી હોવા છતાં અતિ અતિ ક્લેશ એ બન્નેમાં જ જોવા મળે છે. એક-બીજાની હૂંફથી એટલા બધા બંધાયેલા છે કે અંદર સદા ક્લેશ છતાં બહાર પતિ-પત્ની તરીકે આખું જીવન જીવી જાય છે. પતિ-પત્નીનો દીવ્ય વ્યવહાર કઈ રીતે થાય તેનું માર્ગદર્શન સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ હસતાં-હસાવતાં આપી દીધું છે ! સાસુ-વહુ જોડેનો વ્યવહાર, ધંધામાં શેઠ-નોકર કે વેપારી-વેપારી કે ભાગીદારો સાથેના વ્યવહારને પણ ક્લેશરહિત કેમ જીવવો તેની ચાવીઓ આપી છે. કેવળ આત્મા આત્મા કરીને વ્યવહારની પૂરેપૂરી ઉપેક્ષા કરીને આગળ વધનારા સાધકો જ્ઞાનીપદને પામતા નથી. કારણ કે તેમનું જ્ઞાન વાંઝિયું જ્ઞાન ગણાય છે. અસલ જ્ઞાનીઓ જેમ કે પરમ પૂજ્ય દાદાશ્રીએ વ્યવહાર અને નિશ્ચયની બન્ને પાંખોને સમાંતર કરીને મોક્ષ ગગને વિહાર કર્યો છે ને લાખોને કરાવ્યો છે અને વ્યવહારજ્ઞાન અને આત્મજ્ઞાનની ટોચ પરની સમજ આપી જાગૃત કરી આપ્યા છે. પ્રસ્તુત પુસ્તિકામાં જીવન જીવવાની કળા, જે પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી બોધકળાને સંક્ષિપ્તમાં સંકલિત કરવામાં આવી છે. વિગતે વધુ જાણવા પ્રત્યેક વ્યક્તિના વ્યવહારના સોલ્યુશન માટે મોટા ગ્રંથો પ્રાપ્ત કરી વધુ ઊંડી સમજ સુજ્ઞ વાચકે મેળવવી જરૂરી છે. મા-બાપ છોકરાંનો વ્યવહાર, પતિ-પત્નીનો દીવ્ય વ્યવહાર, વાણીનો વ્યવહાર, પૈસાનો વ્યવહાર ઈ.ઈ. વ્યવહાર જ્ઞાનના ગ્રંથોનું આરાધન કરી ક્લેશ વિનાનું જીવન જીવી જવાય છે. - ડૉ. નીરુબેન અમીનનાં જય સચ્ચિદાનંદ વ્યવહાર અને ધર્મ શીખવાડ્યો જગતને !ચોપડી એક વ્યવહારિક જ્ઞાનની બનાવો. તે લોકોનો વ્યવહાર સુધરે તો ય બહુ થઈ ગયું. અને મારાં શબ્દો છે તે એનું મન ફરી જશે. શબ્દો મારાં ને મારાં રાખજો. શબ્દો મહીં ફેરફાર ના કરશો. વચનબળવાળા શબ્દો છે, માલિકી વગરનાં શબ્દો છે. પણ એને ગોઠવી, ગોઠવણી કરવાની તમારે. મારું આ જે વ્યવહારિક જ્ઞાન છે ને, તે તો ઑલ ઓવર વર્લ્ડમાં દરેકને કામ લાગે. આખી મનુષ્યજાતિને કામ લાગે ! અમારો વ્યવહાર બહુ ઊંચો હતો. એ વ્યવહાર શીખવાડું છું ને ધર્મે ય શીખવાડું છું. સ્થૂળવાળાને સ્થૂળ, સૂક્ષ્મવાળાને સૂક્ષ્મ પણ દરેકને કામ લાગે. માટે એવું કંઈક કરો કે લોકોને હેલ્પફુલ થાય. મેં બહુ પુસ્તકો વાંચ્યા, આ લોકોને મદદ થાય એવા. પણ કશું ભલીવાર હતો નહિ. થોડું ઘણું હેલ્પ થાય. બાકી જીવન સુધારે એવા હોય જ નહિ ! કારણ કે એ તો મનનો, ડૉક્ટર ઓફ માઈન્ડ હોય તો જ થાય ! તે આઈ એમ ધી ફુલ ડૉક્ટર ઓફ માઈન્ડ ! - દાદાશ્રી ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. (પા.૧)ક્લેશ વિનાનું જીવન[1] જીવન જીવવાની કળા !આવી ‘લાઈફ’માં શો સાર ?આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઇક હેતુ તો હશે ને ? નાના હતા, પછી ઘૈડા થાય છે ને પછી નનામી કાઢે છે. નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઇ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા ! જેમ ડ્રામામાં ભર્તૃહરિ નામ આપે છે ને ? ‘ડ્રામા’ પૂરો એટલે નામ પૂરું. એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે, અને એ નામ ઉપર બંગલા, મોટર, પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઇ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ? આ શબ્દો જ ‘ઇટસેલ્ફ’ કહે છે કે આ બધી અવસ્થાઓ છે, ગુજારો એટલે જ વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે ? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઇને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય. પણ નાછૂટકે શાદી થાય છે ને ?! આ બધું શું નામ કાઢવાનો હેતુ છે? આગળ સીતા ને એવી સતીઓ થઇ ગયેલી, તે નામ કાઢી ગયેલી. પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે, ને જોડે શું લઇ જવાનું છે ? તમારી ગૂંચો ! તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખુલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના (પા.૨)ખુલાસા થાય. આ વ્યાવહારિક ખુલાસા થાય છે તો ય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખુલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે ! અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. ‘ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ.’ આ ‘વર્લ્ડ’ ‘ઇટસેલ્ફ પઝલ’ થયેલું છે. ધર્મ વસ્તુ તો પછી કરવાની છે, પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતા પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક ઇન્જિન લાવીએ, એમાં પેટ્રોલ નાખીએ અને ચલાવ ચલાવ કરીએ પણ એ મિનિંગલેસ જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઇએ. આ તો ઇન્જિન ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, એ નિરર્થક ના હોવું જોઇએ. એને પટ્ટો જોડી આપે તો ય કંઇક દળાય. પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું જ દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે !! આ તો લાઇફ બધી ફ્રેકચર થઇ છે. શેના હારુ જીવે છે તે ભાને ય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? તો કે’ જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય ! આવા મનુષ્ય-સારનું કોઇને ભાન જ નથી, તેથી ભટક ભટક કર્યા કરે છે. પણ એ કળા કોણ શીખવે ?!આજે જગતને હિતાહિતનું ભાન જ નથી, સંસારના હિતાહિતનું કેટલાંકને ભાન હોય, કારણ કે એ બુદ્ધિના આધારે કેટલાકે ગોઠવેલું હોય છે. પણ એ સંસારી ભાન કહેવાય કે સંસારમાં શી રીતે હું સુખી થાઉં ? ખરેખર તો આ પણ ‘કરેક્ટ’ નથી. ‘કરેક્ટનેસ’ તો ક્યારે કહેવાય કે જીવન જીવવાની કળા શીખ્યો હોય તો. આ વકીલ થયો તો ય કંઈ જીવન જીવવાની કળા આવડી નહીં. ત્યારે ડૉક્ટર થયો તો ય એ કળા ના આવડી. આ તમે ‘આર્ટિસ્ટ’ની કળા શીખી લાવ્યા કે બીજી કોઇ પણ કળા શીખી લાવ્યા, એ કંઇ જીવન જીવવાની કળા ના કહેવાય. જીવન જીવવાની કળા તો, કોઇ માણસ સરસ જીવન જીવતો હોય તેને આપણે કહીએ કે, તમે આ શી રીતે જીવન જીવો છો એવું કંઇક મને શીખવાડો. હું શી રીતે (પા.૩)ચાલું ? તો એ કળા શીખાય ? એના કળાધર જોઇએ, એનો કળાધર હોવો જોઇએ, એનો ગુરુ હોવો જોઇએ. પણ આની તો કોઇને પડેલી જ નથી ને ? જીવન જીવવાની કળાની તો વાત જ ઉડાડી મેલી છે ને ? અમારી પાસે જે કોઇ રહેતો હોય તેને આ કળા મળી જાય. છતાં, આખા જગતને આ કલા નથી આવડતી એવું આપણાથી ના કહેવાય. પણ જો ‘કંપ્લીટ’ જીવન જીવવાની કળા શીખેલા હોય ને તો લાઇફ ‘ઇઝી’ રહે પણ ધર્મ તો જોડે જોઇએ જ. જીવન જીવવાની કળામાં ધર્મ મુખ્ય વસ્તું છે અને ધર્મમાં ય બીજું કશું નહીં, મોક્ષ ધર્મની ય વાત નહીં, માત્ર ભગવાનની આજ્ઞારૂપી ધર્મ પાળવાનો છે. મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે જે કોઇ ભગવાનને તમે માનતા હો તેની આજ્ઞાઓ શું કહેવા માગે છે તે સમજીને પાળો. હવે બધી ના પળાય તો જેટલી પળાય એટલી સાચી. હવે આજ્ઞામાં એવું હોય કે બ્રહ્મચર્ય પાળજો ને આપણે પૈણીને લાવીએ તો એ વિરોધાભાસ થયું કહેવાય. ખરી રીતે તેઓ એમ નથી કહેતા કે તમે આવું વિરોધાભાસવાળું કરજો. એ તો એવું કહે છે કે તારાથી જેટલી અમારી આજ્ઞાઓ ‘એડજસ્ટ’ થાય એટલી ‘એડજસ્ટ’ કર. આપણાથી બે આજ્ઞાઓ ‘એડજસ્ટ’ ના થઇ તો શું બધી આજ્ઞાઓ મૂકી દેવી ? આપણાથી થતું નથી માટે શું આપણે છોડી દેવું ? તમને કેવું લાગે છે ? બે ના થાય તો બીજી બે આજ્ઞા પળાય તો ય બહુ થઇ ગયું. લોકોને વ્યવહારધર્મ પણ એટલો ઊંચો મળવો જોઇએ કે જેથી લોકોને જીવન જીવવાની કળા આવડે. જીવન જીવવાની કળા આવડે એને જ વ્યવહારધર્મ કહ્યો છે. કંઇ તપ, ત્યાગ કરવાથી એ કળા આવડે નહીં. આ તો અજીર્ણ થયું હોય તો કંઇક ઉપવાસ જેવું કરજે. જેને જીવન જીવવાની કળા આવડી તેને આખો વ્યવહારધર્મ આવી ગયો અને નિશ્ચય ધર્મ તો ડેવલપ થઇને આવે તો પ્રાપ્ત થાય અને આ અક્રમ માર્ગે તો નિશ્ચય ધર્મ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઇ જાય છે ! ‘જ્ઞાની પુરુષ’ પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળા હોય ! એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરે. સમજ કેવી ? તે દુઃખમય જીવ્યા !!‘આ’ જ્ઞાન જ એવું છે કે જે છતું કરે અને જગતના લોકો તો (પા.૪)આપણે છતું નાખ્યું હોય તો ય ઊંધું કરી નાખે. કારણ કે સમજણ ઊંધી છે. ઊંધી સમજણ છે એટલે ઊંધું કરે, નહીં તો આ હિન્દુસ્તાનમાં કોઇ જગ્યાએ દુઃખ નથી. આ જે દુઃખો છે તે અણસમજણનાં દુઃખો છે અને લોકો સરકારને વગોવે, ભગવાનને વગોવે કે, આ અમને દુઃખ દે છે ! લોકો તો બસ વગોવણાં કરવાનો ધંધો જ શીખ્યા છે. હમણાં કોઇ અણસમજણથી, ભૂલથી માંકડ મારવાની દવા પી જાય તો એ દવા એને છોડી દે ? પ્રશ્નકર્તા : ના છોડે. દાદાશ્રી : કેમ, ભૂલથી પી લીધીને ? જાણી જોઇને નથી પીધી તો ય એ ના છોડે ? પ્રશ્નકર્તા : ના. એની અસર ના છોડે. દાદાશ્રી : હવે એને મારે છે કોણ ? એ માંકડ મારવાની દવા એને મારે છે, ભગવાન નથી મારતો, આ દુઃખ આપવું કે બીજી કોઇ વસ્તુ કરવી એ ભગવાન નથી કરતો, પુદ્ગલ જ દુઃખ દે છે. આ માંકડની દવા એ પણ પુદ્ગલ જ છે ને ? આપણને આનો અનુભવ થાય છે કે ના થાય ? આ કાળના જીવો પૂર્વવિરાધક વૃત્તિઓના, પૂર્વવિરાધક કહેવાય. પહેલાના કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તો ય ચલાવી લેતા, અને અત્યારે કશાયની તાણ નહીં તો ય આટલો બધો કકળાટ, કકળાટ ! તેમાં ય ધણીને ‘ઇન્કમટેક્ષ’, ‘સેલ્સટેક્ષ’નાં લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય અને ઘેર બઇ-સાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, ‘મારા ધણી વસમા છે.’ ચાર વસ્તુઓ મળી હોય ને કકળાટ માંડે એ બધાં મૂર્ખ, ફૂલીશ કહેવાય. ટાઇમે ખાવાનું મળે છે કે નથી મળતું ? ગમે તેવું પછી હોય, ઘીવાળું કે ઘી વગરનું, પણ મળે છે ને ? ટાઇમે ચા મળે છે કે નથી મળતી ? પછી બે ટાઇમ હો કે એક ટાઇમ, પણ ચા મળે છે કે નથી મળતી ? અને લૂગડાં મળે છે કે નથી મળતાં ? ખમીશ-પાટલૂન શિયાળામાં ટાઢમાં પહેરવાનાં કપડાં મળે છે કે નથી મળતાં ? પડી (પા.૫)રહેવાની ઓરડી છે કે નહીં ? આટલી ચાર વસ્તુ મળે ને પછી બૂમ પાડે તે બધાંને જેલમાં ઘાલી દેવાં જોઇએ! તેમ છતાં તેને બૂમ રહેતી હોય તો તેણે શાદી કરી લેવી જોઇએ. શાદીની બૂમ માટે જેલમાં ના ઘાલી દેવાય. આ ચાર વસ્તુઓ જોડે આની જરૂર છે. ઉંમરલાયક થયેલાને શાદી માટે ના ન પડાય. પણ આમાંય કેટલાક શાદી થઇ હોય ને તેને તોડી નાખે છે ને પછી એકલા રખડે છે ને દુઃખ વહોરે છે. થયેલી શાદી તોડી નાખે છે, કઇ જાતની પબ્લિક છે આ ?! આ ચાર-પાંચ વસ્તુ ના હોય તો આપણે જાણીએ કે આ ભઇને જરા અડચણ પડે છે. તે ય દુઃખ ના કહેવાય, અડચણ કહેવાય. આ તો આખો દહાડો દુઃખમાં કાઢે છે, આખો દહાડો તરંગો કર્યા જ કરતો હોય. જાતજાતના તરંગો કર્યા કરે ! આ એક જણનું મોઢું જરા હિટલર જેવું હતું, એનું નાક જરાક મળતું આવતું હતું. તે પોતાની જાતને મનમાં ખુદ માની બેઠેલો કે આપણે તો હિટલર જેવા છીએ ! મેર ચક્કર ! કંઇ હિટલર ને કંઇ તું ? શું માની બેઠો છે ?! હિટલર તો અમથો બૂમ પાડે તો આખી દુનિયા હાલી ઊઠે ! હવે આ લોકોના તરંગોનો ક્યાં પાર આવે ! એટલે વસ્તુની કશી જરૂર નથી, આ તો અજ્ઞાનતાનું દુઃખ છે. અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ પછી દુઃખ ના રહે. અમારાં પાંચ વાક્યોમાં આપણે ક્યાં નથી રહેતા એટલું જ બસ જોયા કરવાનું ! એના ટાઇમે ખાવાનું બધું મળ્યાં કરે, અને એ પાછું ‘વ્યવસ્થિત’ છે. જો દાઢી એની મેળે થાય છે તો શું તને ખાવાપીવાનું નહીં મળી રહે ? આ દાઢીની ઇચ્છા નથી તો ય તે થાય છે ! હવે તમને વધારે વસ્તુની જરૂર નથી ને ? વધારે વસ્તુની જુઓ ને કેટલી બધી ઉપાધિ છે! તમને ‘સ્વરૂપજ્ઞાન’ મળતાં પહેલાં તરંગો આવતા હતા ને ? તરંગોને તમે ઓળખો ખરા ને ? પ્રશ્નકર્તા : જી હા, તરંગો આવતા હતા. દાદાશ્રી : મહીં જાતજાતના તરંગો આવ્યા કરે, તે તરંગોને ભગવાને આકાશી ફૂલ કહ્યું છે. આકાશી ફૂલ કેવું હતું ને કેવું નહોતું. એના જેવી વાત ! બધા તરંગમાં ને અનંગમાં, બેમાં જ પડ્યા છે. આમ, સીધી ધોલ મારતાં નથી. સીધી ધોલ મારે એ તો પધ્ધતિસર કહેવાય. પણ (પા.૬)મહીં ‘એક ધોલ ચોડી દઇશ’ એવી અનંગ ધોલ માર્યા કરે. જગત તરંગી ભૂતોમાં તરફડ્યા કરે છે. આમ થશે તો આમ થશે ને તેમ થશે. આવા શોખની ક્યાં જરૂર છે ?જગત આખું ‘અન્નેસેસરી’ પરિગ્રહના સાગરમાં ડૂબી ગયું છે ‘નેસેસરી’ને ભગવાન પરિગ્રહ કહેતા નથી. માટે દરેકે પોતાની ‘નેસેસિટી’ કેટલી છે એ નક્કી કરી લેવું જોઇએ. આ દેહને મુખ્ય શેની જરૂર છે ? મુખ્ય તો હવાની. તે તેને ક્ષણે ક્ષણે ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે છે. બીજું, પાણીની જરૂર છે. એ પણ એને ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે છે. પછી જરૂરિયાત ખાવાની છે. ભૂખ લાગે છે એટલે શું કે ફાયર થયો, માટે એને હોલવો. આ ‘ફાયર’ને હોલવવા માટે શું જોઇએ ? ત્યારે આ લોકો કહે કે, ‘શ્રીખંડ, બાસુંદી !’ ના અલ્યા, જે હોય તે નાખી દેને મહીં. ખીચડી-કઢી નાખી હોય તો ય એ હોલવાય. પછી સેકન્ડરી સ્ટેજ ની જરૂરિયાતમાં પહેરવાનું, પડી રહેવાનું એ છે. જીવવા માટે કંઇ માનની જરૂર છે ? આ તો માનને ખોળે છે ને મૂર્ચ્છિત થઇને ફરે છે. આ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જાણવું જોઇએ ને ?! એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. અલ્યા, કંટાળી ગયો ? તો કે’ હા, અમારે તો સાદું જ પાણી જોઇએ. આવું જો થાય ને તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા ખોળે છે. અલ્યા, તારે શેની જરૂરિયાત છે એ જાણી લે ને ! ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી ને રાત્રે ખીચડી મળી ગઇ તો આ દેહ બૂમ પાડે ? ના પાડે. એટલે જરૂરિયાત શું છે એટલું નક્કી કરી લો. ત્યારે આ લોક અમુક જ પ્રકારનો આઇસ્ક્રીમ ખોળશે ! કબીર સાહેબ શું કહે છે ? ‘‘તેરા વેરી કોઇ નહીં, તેરા વેરી ફેલ.’’ ‘અન્નેસેસરી’ માટે ખોટી દોડાદોડ કરે છે એ જ ‘ફેલ’ કહેવાય. તું હિન્દુસ્તાનમાં રહે છે ને નહાવા માટે પાણી માંગે તો અમે તેને ‘ફેલ’ ના કહીએ ? ‘‘અપને ફેલ મિટા દે, ફિર ગલી ગલી મેં ફિર.’’ (પા.૭)આ દેહની જરૂરિયાત કેટલી ? ચોખ્ખું ઘી-દૂધ જોઇએ ત્યારે એ ચોખ્ખું નથી આપતા ને પેટમાં કચરો નાખે છે. એ ફેલ શું કામના ? આ માથામાં શું નાખે છે, બળ્યું ? શેમ્પુ, સાબુ જેવું ના દેખાય ને પાણી જેવું દેખાય એવું માથામાં ઘાલશે. આ અક્કલના ઇસ્કોતરાઓએ એવી શોધખોળ કરી કે જે ફેલ નહોતા એ ય ફેલ થઇ ગયા ! આનાથી અંતરસુખ ઘટી ગયું ! ભગવાને શું કહ્યું હતું કે બાહ્યસુખ અને અંતરસુખની વચ્ચે પાંચ, દશ ટકાનો ફેર હશે તો ચાલશે, પણ આ નેવું ટકાનો ફેર હોય તો તે ના ચાલે. આવડો મોટો થયા પછી એ ફેલ થાય ! મરવું પડે ? પણ એમ નથી મરાતું ને સહન કરવું પડે. આ તો નર્યા ફેલ જ છે, ‘અન્નેસેસરી’ જરૂરિયાત ઊભી કરી છે. એક કલાક બજાર બંધ થઇ ગયું હોય તો લોકોને ચિંતા થઇ જાય ! અલ્યા, તારે શું જોઇએ છે તે તને ચિંતા થાય છે ? તો કહે કે, મારે જરા આઇસ્ક્રીમ જોઇએ છે, સિગરેટ જોઇએ છે ! આ તો ફેલ જ વધાર્યો ને? આ અંદર સુખ નથી તેથી લોક બહાર ડાફોળિયાં મારે છે. મહીં અંતરસુખની જે સિલક હતી તે ય આજે જતી રહી છે. અંતરસુખનું બેલેન્સ ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખી તો પછી અંતરસુખનું બેલેન્સ જ શી રીતે રહે ? નકલ કરીને જીવવું સારું કે અસલ ? આ છોકરાંઓ એકબીજાની નકલ કરે છે. આપણને નકલ કેવી ? આ ફોરેનના લોકો આપણી નકલ કરી જાય. પણ આ તો ‘ફોરેન’ના થોડા ‘હિપ્પી’ અહીં આવ્યા ને અહીંના લોકોએ તેમની નકલ કરી નાખી ! આને જીવન કહેવાય જ કેમ ? લોકો ‘ગોળ મળતો નથી, ખાંડ મળતી નથી’ એમ બૂમો પાડે છે. ખાવાની ચીજો માટે કંઈ બૂમો પાડવી ? ખાવાની ચીજોને તો તુચ્છ ગણી છે. ખાવાનું તો પેટ છે તે મળી રહે છે. દાંત છે તેટલા કોળિયા મળી રહે છે. દાંતે ય કેવા છે ! ચીરવાના, ફાડવાના, ચાવવાના જુદા જુદા, આ આંખો કેવી સારી છે ? કરોડ રૂપિયા આપે તો ય આવી આંખ મળે ? ના મળે. અરે, લાખ રૂપિયા હોય તો ય અક્કરમી કહેશે, ‘હું દુઃખી છું’. આપણી પાસે આટલી બધી કિંમતી વસ્તુઓ છે એની કિંમત સમજતો નથી. આ એકલી આંખની જ કિંમત સમજે તો ય સુખ લાગે. (પા.૮)આ દાંતે ય છેવટે તો નાદારી કાઢવાના, પણ અત્યારે બનાવટી દાંત ઘાલીને સાદાર કરે છે. પણ તે ભૂત જેવું લાગે. કુદરતને નવા દાંત આપવાના હોય તો તે ના આપત ? નાના છોકરાને નવા દાંત આપે છે ને ? આ દેહને ઘઉં ખવડાવ્યા, દાળ ખવડાવી, છતાં છેવટે નનામી ! સબકી નનામી! છેવટે તો આ નનામી જ નીકળવાની છે. નનામી એટલે કુદરતની જપ્તી. બધું અહીં મૂકીને જવાનું ને જોડે શું લઇ જવાનું ? ઘરનાં જોડેની, ઘરાક જોડેની, વેપારી જોડેની ગૂંચો ! ભગવાને કહ્યું કે ‘હે જીવો ! બુઝો, બુઝો, બુઝો. મનુષ્યપણું ફરી મળવું મહાદુર્લભ છે.’’ જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઇએ ને ? શેમાં હિત ? નક્કી કરવું પડે !અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર હોય ! કોઇ ઘડિયાળની કંપની મારી પાસે પૈસા લઇ ગઇ નથી. કોઇ રેડિયોવાળાની કંપની મારી પાસેથી પૈસા લઇ ગઇ નથી. અમે એ વસાવ્યાં જ નથી. આ બધાંનો અર્થ જ શો છે ? ‘મિનિંગલેસ’ છે. જે ઘડિયાળે મને હેરાન કર્યો, જેને જોતાંની સાથે જ મહીં તેલ રેડાય એ શું કામનું ? ઘણા ખરાને બાપને દેખવાથી મહીં તેલ રેડાય. પોતે વાંચતો ના હોય, ચોપડી આઘી મૂકીને રમતમાં પડ્યો હોય ને અચાનક બાપને દેખે તો તેને તેલ રેડાય, એવું આ ઘડિયાળ દેખતાંની સાથે તેલ પડ્યું તો બળ્યું મેલ ઘડિયાળને છેટું. અને આ બીજું બધું રેડિયો-ટી.વી તો પ્રત્યક્ષ ગાંડપણ છે, પ્રત્યક્ષ ‘મેડનેસ’ છે. પ્રશ્નકર્તા : રેડિયો તો ઘર-ઘરમાં છે. દાદાશ્રી : એ વાત જુદી છે. જ્યાં જ્ઞાન જ નથી ત્યાં આગળ શું થાય ? એને જ મોહ કહેવાય ને ? મોહ કોને કહેવાય છે ? ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે એનું નામ મોહ કહેવાય. આ કોના જેવું છે તે કહું ? આ ડુંગળીને ખાંડની ચાસણીમાં નાખીને આપે તો લઇ આવે તેના જેવું છે. અલ્યા, તારે ડુંગળી ખાવી છે (પા.૯)કે ચાસણી ખાવી છે તે પહેલાં નક્કી કર. ડુંગળી એ ડુંગળી હોવી જોઇએ. નહીં તો ડુંગળી ખાધાનો અર્થ જ શો ? આ તો બધું ગાંડપણ છે. પોતાનું કંઇ ડિસિઝન નહીં, પોતાની સૂઝ નહીં ને કશું ભાને ય નહીં! કો’કને ડુંગળીને ખાંડની ચાસણીમાં ખાતો જુએ એટલે પોતે પણ ખાય ! ડુંગળી એવી વસ્તુ છે કે ખાંડની ચાસણીમાં નાખે કે તે યુઝલેસ થઇ જાય. એટલે કોઇને ભાન નથી, બિલકુલ બેભાનપણું છે. પોતાની જાતને મનમાં માને કે, ‘હું કંઇક છું’ અને એને ના ય કેમ પડાય આપણાથી ? આ આદિવાસી પણ મનમાં સમજે કે, ‘હું કંઇક છું.’ કારણ કે એને એમ થાય કે, ‘આ બે ગાયો ને આ બે બળદનો હું ઉપરી છું !’ અને એ ચાર જણનો એ ઉપરી જ ગણાય ને ? જ્યારે એમને મારવું હોય ત્યારે એ મારી શકે, એ માટે અધિકારી છે એ. અને કોઇનો ઉપરી ના હોય તો છેવટે વહુનો તો ઉપરી હોય જ. આને કેમ પહોંચી વળાય ? જ્યાં વિવેક નથી, સારાસારનું ભાન નથી ત્યાં શું થાય ? મોક્ષની તો વાત જવા દો પણ સાંસારિક હિતાહિતનું પણ ભાન નથી. સંસાર શું કહે છે કે રેશમી ચાદર મફત મળતી હોય તો તે લાવીને પાથરો નહીં અને ‘કોટન’ વેચાતી મળતી હોય તો લાવો. હવે તમે પૂછશો કે એમાં શું ફાયદો ! તો કે’ આ મફત લાવવાની ટેવ પડ્યા પછી જો કદી નહીં મળે તો મુશ્કેલીમાં મુકાઇ જઇશ. માટે એવી ટેવ રાખજે કે કાયમ મળ્યા કરે. માટે કોટનની વેચાતી લાવજે. નહીં તો ટેવ પડ્યા પછી કપરું લાગશે. આ જગત જ બધું એવું થઇ ગયું છે, ઉપયોગ નામે ય ના મળે. મોટા મોટા આચાર્ય મહારાજોને કહીએ કે, ‘સાહેબ, આ ચાર ગોદડાંમાં આજે સૂઇ જાઓ.’ તો એમને મહાઉપાધિ લાગે, ઊંઘ ના આવે આખી રાત ! કારણ કે સાદડીમાં સૂવાની ટેવ પડેલી ને ! આ સાદડીથી ટેવાયેલા છે ને પેલા ચાર ગોદડાંથી ટેવાયેલા છે. ભગવાનને તો બેઉ કબૂલ નથી. સાધુના તપને કે ગૃહસ્થીના વિલાસને ભગવાન કબૂલ કરતા નથી એ તો કહે છે કે જો તમારું ઉપયોગપૂર્વક હશે તો તે સાચું. ઉપયોગ નથી ને એમને એમ ટેવ પડી જાય તે બધું મિનિંગલેસ કહેવાય. વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ! ના સમજાય તો ‘દાદા’ને (પા.૧૦)પૂછવું, તે ‘દાદા’ તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે તે રસ્તે અમારા આશીર્વાદ લઇને ચાલવાનું છે. ને આવી ગોઠવણીથી સુખ આવે !એક જણ મને કહે કે, ‘મને કશી સમજણ પડતી નથી. કશાક આશીર્વાદ મને આપો.’ તેના માથે હાથ મૂકીને મે કહ્યું, ‘જા, આજથી સુખની દુકાન કાઢ. અત્યારે તારી પાસે જે છે તે દુકાન કાઢી નાખ.’ સુખની દુકાન એટલે શું ? સવારથી ઊઠયા ત્યારથી બીજાને સુખ આપવું, બીજો વેપાર ના કરવો. હવે એ માણસને તો આની બહુ સમજણ પડી ગઇ. એણે તો બસ આ શરૂ કરી દીધું, એટલે તો એ ખૂબ આનંદમાં આવી ગયો ! સુખની દુકાન કાઢે ને એટલે તારે ભાગે ય સુખ જ રહેશે અને લોકોને ભાગે ય સુખ જ જશે. આપણે હલવાઇની દુકાન હોય પછી કોઇને ત્યાં જલેબી વેચાતી લેવા જવું પડે ? જ્યારે ખાવી હોય ત્યારે ખવાય. દુકાન જ હલવાઇની હોય ત્યાં પછી શું ? માટે તું સુખની જ દુકાન કાઢ. પછી કશી ઉપાધિ જ નહીં. તમારે જેની દુકાન કાઢવી હોય તેની કાઢી શકાય. જો બધા જ દહાડાની ના કાઢી શકાય તો અઠવાડિયામાં એક દહાડો રવિવારના દહાડે તો કાઢો ! આજે રવિવાર છે, ‘દાદા’એ કહ્યું છે કે સુખની દુકાન કાઢવી છે. તમને સુખના ઘરાકો મળી રહેશે. ‘વ્યવસ્થિત’ નો નિયમ જ એવો છે કે ગ્રાહકને ભેગા કરી આલે. ‘વ્યવસ્થિત’ નો નિયમ એ છે કે તેં જે નક્કી કર્યું હોય તે પ્રમાણે તને ઘરાક મોકલી આપે. જેને જે ભાવતું હોય તેણે તેની દુકાન કાઢવી. કેટલાક તો સળીઓ કર્યા કરે. એમાંથી એ શું કાઢે ? કોઇને હલવાઇનો શોખ હોય તો તે શેની દુકાન કાઢે ? હલવાઇની જ. લોકોને શેનો શોખ છે ? સુખનો. તો સુખની જ દુકાન કાઢ, જેથી લોકો ય સુખ પામે ને પોતાના ઘરનાં ય સુખ ભોગવે. ખાઓ, પીઓ ને મઝા કરો. આવતા દુઃખના ફોટા ના પાડો. ખાલી નામ સાંભળ્યું કે ચંદુભાઇ આવવાના છે, હજુ આવ્યા નથી, ખાલી કાગળ જ આવ્યો છે ત્યાંથી જ એના ફોટા પાડવા મંડી જાય. આ ‘દાદા’ તો ‘જ્ઞાની પુરુષ’ એમની દુકાન કેવી ચાલે ? આખો (પા.૧૧)દિવસ ! આ ‘દાદા’ ની સુખની દુકાન, તેમાં કોઇએ ઢેખાળો નાખ્યો હોય તો યે પાછા એને ગુલાબજાંબુ ખવડાવીએ. સામાને ઓછી ખબર છે કે આ સુખની દુકાન છે એટલે ત્યાં ઢેખાળો ના મરાય ? એમને તો, નિશાન તાક્યા વગર જ્યાં આવ્યું ત્યાં મારે. આપણે કોઇને દુઃખ નથી આપવું આવું નક્કી કર્યું તો ય આપનારો તો આપી જ જાય ને ? ત્યારે શું કરીશ તું ? જો હું તને એક રસ્તો બતાવું. તારે અઠવાડિયામાં એક દહાડો ‘પોસ્ટ ઓફિસ’ બંધ રાખવાની. તે દા’ડે કોઇનો મનીઓર્ડર સ્વીકારવો નહીં ને કોઇને મનીઓર્ડર કરવાનો નહીં. અને કોઇ મોકલે તો તેને બાજુએ મૂકી રાખવાનું ને કહેવાનું કે, ‘આજે પોસ્ટઓફિસ બંધ છે. કલ બાત કરેંગે.’ અમારે તો કાયમ પોસ્ટ ઓફિસ બંધ જ હોય છે. આ દિવાળીને દહાડે બધા શા માટે ડાહ્યા થઇ જાય છે ? એમની ‘બિલીફ’ બદલાઇ જાય છે તેથી. આજે દિવાળીનો દહાડો છે, આનંદમાં ગાળવો છે એવું નક્કી કરે છે તેથી એમની બિલીફ બદલાઇ જાય છે, તેથી આનંદમાં રહે છે. ‘આપણે’ માલિક એટલે ગોઠવણી કરી શકીએ. તે નક્કી કર્યું હોય કે ‘આજે તોછડાઇ કરવી નથી.’ તો તારાથી તોછડાઇ નહીં થાય. આ અઠવાડિયામાં એક દહાડો આપણે નિયમમાં રહેવાનું, પોસ્ટ ઓફિસ બંધ કરીને એક દહાડો બેસવાનું. પછી છો ને લોકો બૂમો પાડે કે આજે પોસ્ટ ઓફિસ બંધ છે ? વેર ખપે ને આનંદ પણ રહે !આ જગતમાં કોઇપણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન દેવાની ભાવના હોય તો જ કમાણી કહેવાય. એવી ભાવના રોજ સવારે કરવી. કોઇ ગાળ આપે તે આપણને ના ગમતી હોય તો તેને જમે જ કરવી, તપાસ ના કરવી કે મેં એને ક્યારે આપી હતી. આપણે તો તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો. ને ચાર પાછી આપી તો ચોપડો ચાલુ રહે, એને ઋણાનુબંધ કહે છે. ચોપડો બંધ કર્યો એટલે ખાતું બંધ. આ લોક તો શું કરે કે પેલાએ એક ધીરી હોય તો આ ઉપરથી ચાર ધીરે ! ભગવાને શું કહ્યું છે કે, જે રકમ તને ગમતી હોય તે ધીર અને ના ગમતી હોય તો (પા.૧૨)ના ધીરીશ. કોઇ માણસ કહે કે, તમે બહુ સારા છો તો આપણે ય કહીએ કે ‘ભઇ, તમે ય બહુ સારા છો.’ આવી ગમતી વાત ધીરો તો ચાલે. આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઇને, વહુ થઇને, છોકરો થઇને, છેવટે બળદ થઇને પણ ચૂકવવું પડે. બળદ લીધા પછી રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત !! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે ! આ જગત વેરથી ખડું રહ્યું છે ! આ હિન્દુઓ તો ઘરમાં વેર બાંધે અને આ મુસ્લિમોને જુએ તો એ ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાત્રે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યે કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. તે નાસી તો આ બાવા-બાવલીઓ જાય છે જ ને ? નાસી ના જવાય. આ તો જીવનસંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે ! ઘરનાં બધાં જોડે, આજુબાજુ, ઓફિસમાં બધાં જોડે ‘સમભાવે નિકાલ’ કરજો. ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં ‘સમભાવે નિકાલ’ કરજો. કોઇને છંછેડશો નહીં જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તો ય અમે મહીંથી બે ચીજ ખાઇ લઇએ. ના ખાઇએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય, અને બીજું ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે, મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું, ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું. હવે એને આપણે માન ના આપવું જોઇએ ? અમને તો આપી જાય તો ય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલુ આમાં સુખ ઘટે કે વધે ? પ્રશ્નકર્તા : ઘટે. (પા.૧૩)દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરો ને ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાય ને ? મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તે ખઇ લઉં ને પાછો કહું કે આજનું શાક બહુ સરસ છે. પ્રશ્નકર્તા : એ દ્રોહ ના કહેવાય ? ના ભાવતું હોય ને આપણે કહીએ કે ભાવે છે, તો એ ખોટું મનને મનાવવાનું ના થયું ? દાદાશ્રી : ખોટું મનને મનાવવાનું નહીં. એક તો ‘ભાવે છે’ એવું કહીએ તો આપણા ગળે ઊતરશે. ‘નથી ભાવતું’ કહ્યું એટલે શાકને રીસ ચઢશે, બનાવનારને રીસ ચઢશે અને ઘરના છોકરાં શું સમજશે કે આ ડખાવાળા માણસ કાયમ આવું જ કર્યા કરે છે ? ઘરનાં છોકરાંઓ આપણી આબરૂ જોઇ જાય. અમારે ઘરમાં ય કોઇ જાણે નહીં કે ‘દાદા’ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઇ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના ‘વ્યવસ્થિત’ના હિસાબે ભાણામાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઇએ. સાહ્યબી, છતાંય ના માણી !આ હોટલમાં ખાય છે તે પછી મરડો થાય. હોટલમાં ખાય પછી ધીમે ધીમે આમ ભેગો થાય અને એક બાજુ પડી રહે. પછી એ જ્યારે પરિપાક થાય ત્યારે મરડો થાય. ચૂંક આવે એ કેટલાંય વર્ષો પછી પરિપાક થાય. અમને તો આ અનુભવ થયો ત્યાર પછી બધાને કહેતા કે હોટલનું ના ખવાય. અમે એક વખત મીઠાઇની દુકાને ખાવા ગયેલા. તે પેલો મીઠાઇ બનાવતો હતો તેમાં પરસેવો પડે, કચરો પડે ! આજકાલ તો ઘેરે ય ખાવાનું બનાવે છે તે ક્યાં ચોખ્ખું હોય છે ? લોટ બાંધે ત્યારે હાથ ધોયા ના હોય, નખમાં મેલ ભરાયો હોય. આજકાલ નખ કાપતા નથી ને ? અહીં કેટલાક આવે એને નખ લાંબા હોય ત્યારે મારે તેને કહેવું પડે છે, બહેન આમાં તને લાભ છે કે ? લાભ હોય તો નખ રહેવા દેજે. તારે કંઇ ડ્રોઈંગનું કામ કરવાનું હોય તો રહેવા દેજે. ત્યારે એ કહે કે, ના. આવતી કાલે કાપી લાવીશ. આ લોકોને કંઇ સેન્સ જ નથી ! તે નખ વધારે છે, ને કાન પાસે રેડિયો લઇને ફરે છે ! પોતાનું સુખ શામાં છે (પા.૧૪)એ ભાન જ નથી, અને પોતાનું પણ ભાન ક્યાં છે ? એ તો લોકોએ જે ભાન આપ્યું તે જ ભાન છે. બહાર કેટલી બધી જાહોજલાલી ભોગવવાની છે ! આ લાખ રૂપિયાની ડબલડેકર બસમાં આઠ આના આપે તો અહીંથી ઠેઠ ચર્ચગેટ સુધી બેસીને જવા મળે ! એમાં ગાદી પાછી કેવી સરસ ! અરે ! પોતાના ઘેરેય એવી નથી હોતી ! હવે આવી સરસ પુણ્યૈ મળી છે પણ ભોગવતાં નથી આવડતું, નહીં તો હિન્દુસ્તાનમાં લોકોને લાખ રૂપિયાની બસ ક્યાંથી ભાગ્યમાં હોય ? આ મોટરમાં જાઓ છો તે કશે ધૂળ ઊડે છે ? ના. એ તો રસ્તા ધૂળ વગરના છે. ચાલે તો પગેય ધૂળ ચડે નહીં. અરે, બાદશાહનેય એના વખતમાં રસ્તા ધૂળવાળા હતા. તે બહાર જઇને આવે તો ધૂળથી ભરાઇ જાય ! અને આમને બાદશાહ કરતાંય વધારે સાહ્યબી છે, પણ ભોગવતાં જ નથી આવડતું ને ? આ બસમાં બેઠો હોય તોય મહીં ચક્કર ચાલુ ! સંસાર સહેજેય ચાલે, ત્યાં...કશું દુઃખ જેવું છે જ નહીં અને જે છે એ અણસમજણનાં દુઃખો છે. આ દુનિયામાં કેટલા બધા જીવો છે ? અસંખ્યાત જીવો છે ! પણ કોઇની ય બૂમ નથી કે અમારે ત્યાં દુકાળ પડ્યો ! અને આ અક્કરમીઓ વરસે વરસે બૂમાબૂમ કરે છે ! આ દરિયામાં કોઇ જીવ ભૂખે મરી ગયો હોય એવું છે ? આ કાગડા-બાગડા બધા ભૂખે મરી જાય એવું છે ? ના, એ ભૂખથી નહીં મરવાના, એ તો કંઇ અથડાઇ પડ્યા હોય, એક્સિડન્ટ થયો હોય, અગર તો આયુષ્ય પૂરું થાય ત્યારે મરી જાય. કોઇ કાગડો તમને દુઃખી દેખાયો ? કોઇ સુકાઇને કંતાઇ ગયેલો કાગડો દેખ્યો તમે ? આ કૂતરાંને કંઇ ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ? એ તો કેવાં નિરાંતે ઊંઘી જાય છે. આ અક્કરમીઓ જ વીસ-વીસ ગોળીઓ ઊંઘવા માટે ખાય છે ! ઊંઘ એ તો કુદરતી બક્ષિસ છે, ઊંઘમાં તો ખરેખરો આનંદ હોય! અને આ ડોક્ટરો તો બેભાન થવાની ગોળીઓ આપે છે. ગોળીઓ ખાઇને બેભાન થવું તે આ દારૂ પીએ છે તેના જેવું છે. કોઇ ‘બ્લડપ્રેશર’વાળો કાગડો જોયો તમે ! આ મનુષ્ય નામનાં જીવડાં એકલા જ દુઃખિયાં છે. આ મનુષ્ય એકલાંને જ કોલેજની જરૂર છે. (પા.૧૫)આ ચકલાં સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શિખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, ‘સ્વરૂપજ્ઞાન’ મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે. મનુષ્યો જ પરણાવવામાં પડ્યાં છે. પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કર ને ! બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઇ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ છોકરાંને ચોરી કરતાં કોણ શિખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલાં જ દુઃખી-દુઃખી છે, પણ એમાં એમનો દોષ નથી. કારણ કે ચોથા આરા સુધી સુખ હતું, અને આ તો પાંચમો આરો, આ આરાનું નામ જ દુષમકાળ ! એટલે મહાદુઃખે કરીને સમતા ઉત્પન્ન ના થાય. કાળનું નામ જ દુષમ !! પછી સુષમ ખોળવું એ ભૂલ છે ને ? (પા.૧૬)[2] યોગ-ઉપયોગો પરોપકારાય !જીવનમાં, મહત્કાર્ય જ આ બે !મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, ‘એબ્સોલ્યુટ’ થવા માટે છે અને જો આ ‘એબ્સોલ્યુટ’ થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાના હારુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતાં હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે ! પરોપકારથી પુણ્યૈ સથવારે !જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે, અને મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુશ્મનનો સંજોગ કેમ જાય તે પૂછી લેવું અને જો દુશ્મન ગમતો હોય તો તે સંજોગ કેવી રીતે થાય એ પૂછે, એટલે અમે તેને કહીએ કે, જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને તને ફાવે તેમ મજા કરજે, પછી આગળની વાત આગળ ! અને પુણ્યરૂપી મિત્ર જોઇતો હોય તો અમે બતાડી દઇએ કે, ભઇ, આ ઝાડ પાસેથી શીખી લે. કોઇ ઝાડ એનું ફળ પોતે ખાઇ જાય છે ? ત્યારે કોઇ ગુલાબ એનું ફૂલ ખાઇ જતું હશે ? થોડુંક તો ખાઇ જતું હશે, નહીં ? આપણે ના હોઇએ ત્યારે રાત્રે એ ખાઇ જતું હશે, નહીં ? ના, ખાઇ જાય ? પ્રશ્નકર્તા : ના ખાય. (પા.૧૭)દાદાશ્રી : આ ઝાડ-પાન એ તો મનુષ્યોને ફળ આપવા માટે મનુષ્યોની સેવામાં છે. હવે ઝાડોને શું મળે છે ? એમની ગતિ ઊંચી જાય છે, અને મનુષ્યો આગળ વધે છે-એમની હેલ્પ લઇને ! એમ માનો ને, કે આપણે કેરી ખાધી. એ આંબાના ઝાડનું શું ગયું ? અને આપણને શું મળ્યું ? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ તેનાથી આપણે સો રૂપિયા આધ્યાત્મિક કમાઇએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે. એટલે એ લોકો આપણા ભાગમાંથી પડાવે, પાંચ ટકા પડાવે ને એ બિચારાં ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડો કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ ફૂલ ભોગવો. માટે આ જગત તમને પોષાતું હોય, જગત જો તમને ગમતું હોય, જગતની ચીજોની ઇચ્છા હોય, જગતના વિષયોની વાંછના હોય તો આટલું કરો, ‘યોગ-ઉપયોગો પરોપકારાય.’ યોગ એટલે આ મન, વચન, કાયાનો યોગ અને ઉપયોગ એટલે બુદ્ધિ વાપરવી, મન વાપરવું, ચિત્ત વાપરવું-એ બધું જ પારકાને માટે વાપર અને પારકાને માટે ના વપરાય તો આપણા લોકો છેવટે ઘરનાં માટે પણ વાપરે છે ને ! આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે તેનાથી એને બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. આ ઝાડને ક્યાંથી ખોરાક મળે છે ? આ ઝાડોએ કંઇ પુરુષાર્થ કર્યો છે ? એ તો જરાય ‘ઇમોશનલ’ નથી. એ કોઇ દહાડો ‘ઇમોશનલ’ થાય છે ? એ તો કોઇ દહાડો આઘાં-પાછાં થતાં જ નથી. એમને કોઇ દહાડો થતું નથી કે લાવ અહીંથી માઇલ છેટે વિશ્વામિત્રી છે તે ત્યાં જઇને પાણી પી આવું ! પરોપકાર, પરિણામે લાભ જ !પ્રશ્નકર્તા : આ જગતમાં સારાં કૃત્યો ક્યાં કહેવાય ? એની વ્યાખ્યા આપી શકાય ? દાદાશ્રી : હા, સારાં કૃત્યો તો આ ઝાડ કરે, બધાં કરે છે એ તદ્ન સારાં કૃત્યો કરે છે. પણ એ પોતે કર્તાભાવે નથી. આ ઝાડ જીવવાળાં છે. (પા.૧૮)બધાં પારકા માટે પોતાનાં ફળ આપે છે. તમે તમારાં ફળ પારકાને આપી દો. તમને તમારા ફળ મળ્યા કરશે. તમારાં જે ફળ ઉત્પન્ન થાય-દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ. ‘ફ્રી ઓફ કોસ્ટ’ લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે, તમારી જીવન-જરૂરિયાતમાં કિંચિત્ માત્ર અડચણ નહીં પડે. અને જ્યારે એ ફળ તમે તમારી મેળે ખાઇ જશો તો અડચણ આવી મળશે. આ આંબો એનાં ફળ ખાઇ જાય તો એનો માલિક જે હોય તે શું કરે ? એને કાપી નાખે ને ? તેમ આ લોકો પોતાનાં ફળ પોતે જ ખાઇ જાય છે, એટલું જ નહીં ઉપરથી ફી માંગે છે ! એક અરજી લખી આપવાના બાવીસ રૂપિયા માંગે છે ! જે દેશમાં ‘ફ્રી ઓફ કોસ્ટ’ વકીલાત કરતા, અને ઉપરથી ઘરનું જમાડીને વકીલાત કરતાં ત્યાં આ દશા થઇ । ગામમાં વઢવાડ થઇ હોય, તો નગરશેઠ હોય તે પેલા બે લઢવાવાળાને કહેશે, ‘ભાઇ ચંદુલાલ, તમે આજે સાડા દસ વાગે ઘેર આવજો અને નગીનદાસ, તમે પણ તે ટાઇમે ઘેર આવજો;’ અને નગીનદાસની જગ્યાએ કોઇ મજૂર હોય કે ખેડૂત હોય કે જે વઢતા હોય તેમને ઘેર બોલાવી જાય. બેઉને બેસાડે, બેઉને સહમત કરે. જેના પૈસા ચૂકવવાના હોય તેને થોડા રોકડા અપાવી, બાકીના હપ્તા બંધાવી આપે. પછી બેઉ જણને કહેશે, ચાલો, મારી જોડે જમવા બેસી જાઓ. બન્નેને જમાડીને પછી ઘેર મોકલી આપે ! છે અત્યારે આવા વકીલ ? માટે સમજો, અને સમયને ઓળખીને ચાલો. અને જો પોતાની જાતને પોતા માટે જ વાપરે તો મરણ વખત દુઃખી થવાય. જીવ નીકળે નહીં ! ને બંગલા મોટર છોડીને જવાય નહીં ! અને આ લાઇફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઇ જાતની તમને અડચણ નહીં આવે, તમારી જે જે ઇચ્છાઓ છે તે બધી જ પૂરી થશે. અને આમ કૂદાકૂદ કરશો તો એકે ય ઇચ્છા પૂરી નહીં થાય, કારણ કે એ રીત તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની. પ્રશ્નકર્તા : પરોપકારી માણસ લોકોના સારા માટે કહે તો પણ લોકો તે સમજવાને તૈયાર જ નથી, તેનું શું ? દાદાશ્રી : એવું છે, કે પરોપકાર કરનાર જો સામાની સમજણ જુએ (પા.૧૯)તો એ વકીલાત કહેવાય. એટલે સામાની સમજણ જોવાની ના હોય. આ આંબો છે તે ફળ આપે છે. પછી તે આંબો એની કેટલી કેરીઓ ખાતો હશે ? પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : તો એ બધી કેરીઓ કોના માટે છે ? પ્રશ્નકર્તા : પારકા માટે. દાદાશ્રી : હં... તે આંબો જુએ છે કે આ મારી કેરીઓ ખાનારો લુચ્ચો છે કે સારો છે ? જે આવે ને લઇ જાય તેની તે કેરી, મારી નહીં. પરોપકારી જીવન તો એ જીવે છે ! પ્રશ્નકર્તા : પણ જે ઉપકાર કરે તેની ઉપર જ લોકો દોષારોપણ કરે છે, તો ય ઉપકાર કરવો ? દાદાશ્રી : હા. એ જ જોવાનું છે. અપકાર ઉપર ઉપકાર કરે તે જ ખરું છે. આવી સમજણ લોક ક્યાંથી લાવે ? આવી સમજણ હોય તો તો કામ જ થઇ ગયું ! આ પરોપકારીની તો બહુ ઊંચી સ્થિતિ છે, એ જ આખા મનુષ્ય- જીવનનો ધ્યેય છે. અને હિન્દુસ્તાનમાં બીજો ધ્યેય, અંતિમ ધ્યેય મોક્ષપ્રાપ્તિનો છે. પ્રશ્નકર્તા : પરોપકારની સાથે ‘ઇગોઇઝમ’ની સંગતિ હોય કે ? દાદાશ્રી : હંમેશાં પરોપકાર જે કરે છે તેનો ‘ઇગોઇઝમ’ નોર્મલ જ હોય, તેનો વાસ્તવિક ‘ઇગોઇઝમ’ હોય. અને જે કોર્ટમાં દોઢસો રૂપિયા ફી લઇને બીજાનું કામ કરતા હોય તેનો ‘ઇગોઇઝમ’ બહુ વધી ગયેલો હોય, એટલે જેને ‘ઇગોઇઝમ’ વધારવાનો ના હોય તેનો ‘ઇગોઇઝમ’ બહુ વધી ગયો હોય. આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો. (પા.૨૦)[3] દુઃખ ખરેખર છે ?‘રાઈટ બિલીફ’ ત્યાં દુઃખ નથી !પ્રશ્નકર્તા : દાદા, દુઃખ વિશે કંઇક કહો. આ દુઃખ શેમાંથી ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : તમે જો આત્મા છો તો આત્માને દુઃખ હોય જ નહીં કોઇ દહાડોય અને તમે ચંદુલાલ છો તો દુઃખ હોય. તમે આત્મા છો તો દુઃખ હોતું નથી, ઊલટું દુઃખ હોય તે ઓગળી જાય. ‘હું’ ચંદુલાલ છું એ ‘રોંગ બિલીફ’ છે. આ મારા વાઇફ છે, આ મારાં મધર છે, ફાધર છે, કાકા છે, કે હું ‘એકસપોર્ટ-ઇમ્પોર્ટ’નો વેપારી છું, એ બધી જાતજાતની ‘રોંગ બિલીફ’ છે. આ બધી ‘રોંગ બિલીફ’ને લઇને દુઃખ ઉત્પન્ન થાય છે. જો ‘રોંગ બિલીફ’ જતી રહે ને ‘રાઇટ બિલીફ’ બેસી જાય તો જગતમાં કંઇ દુઃખ છે જ નહીં. અને તમારા જેવા (ખાધે-પીધે સુખી) ને દુઃખ હોય નહીં. આ તો બધાં વગર કામનાં અણસમજણનાં દુઃખો છે. દુઃખ તો ક્યારે ગણાય ?દુઃખ કોને કહેવાય ? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય. તરસ લાગ્યા પછી બે-ત્રણ કલાકમાં પાણી ના મળે તો એ દુઃખ જેવું લાગે. સંડાસ લાગ્યા પછી સંડાસમાં જવા ના દે, તો પછી એને દુઃખ થાય કે ના થાય ? સંડાસ કરતાં ય આ મૂતરડીઓ છે તે બધી બંધ કરી દે ને, તો માણસો બધાં બૂમાબૂમ કરી મેલે. આ મૂતરડીઓનું તો મહાન દુઃખ છે લોકોને. આ બધાં દુઃખને દુઃખ કહેવાય. (પા.૨૧)પ્રશ્નકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઇએ તો દસમાંથી નવ જણાને દુઃખ છે. દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઇક શાંતિમાં હશે. બાકી બધું રાતદહાડો બળ્યા જ કરે છે. શક્કરિયાં ભરહાડમાં મૂક્યાં હોય તો કેટલી બાજુ બફાયા કરે ? પ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો ઉઠાવવાનો ? દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એમ માનો ને, કે તમારે ત્યાં બહુ વખતના જૂના સોફાસેટ છે. હવે તમારા મિત્રને ઘેર સોફાસેટ હોય જ નહીં એટલે તે આજે એ નવી જાતના સોફાસેટ લાવ્યા. એ તમારા ‘વાઇફ’ જોઇ આવ્યાં. પછી ઘેર આવીને કહે કે, ‘તમારા ભાઇબંધને ઘેર કેવા સરસ સોફાસેટ છે ! ને આપણે ત્યાં ખરાબ થઇ ગયા છે.’ તે આ દુઃખ આવ્યું !!! ઘરમાં દુઃખ નહોતું તે જોવા ગયા ત્યાંથી દુઃખ લઇને આવ્યા ! તમે બંગલો બાંધ્યો ના હોય ને તમારા ભાઇબંધે બંગલો બાંધ્યો ને તમારાં ‘વાઇફ’ ત્યાં જાય, જુએ ને કહે કે, ‘કેવો સરસ બંગલો તેમણે બાંધ્યો ! અને આપણે તો બંગલા વગરનાં !’ એ દુઃખ આવ્યું !!! એટલે આ બધાં દુઃખો ઊભાં કરેલાં છે. હું ન્યાયાધીશ હોઉં તો બધાંને સુખી કરીને સજા કરું. કોઇને એના ગુના માટે સજા કરવાની આવે તો પહેલાં તો હું એને પાંચ વર્ષથી ઓછી સજા થાય એવું નથી એવી વાત કરું. પછી વકીલ ઓછાં કરવાનું કહે ત્યારે ૪ વર્ષ, પછી ૩ વર્ષ, ૨ વર્ષ એમ કરતાં કરતાં છેલ્લે છ મહિનાની સજા કરું. આથી પેલો જેલમાં તો જાય અને સુખી થાય. મનમાં રાજી થાય કે છ મહિનામા પત્યું, આ તો માન્યતાનું જ દુઃખ છે. જો તેને પહેલી જ છ મહિનાની સજા થશે એમ કહેવામાં આવે તો એને એ બહુ લાગે. (પા.૨૨)‘પેમેન્ટ’માં તો સમતા રખાય !આ તમને ગાદીએ બેસો એવું સુખ છે, છતાં ભોગવતાં ના આવડે ત્યારે શું થાય ? એંસી રૂપિયાના મણના ભાવના બાસમતી હોય તેની મહીં રેતી નાખે ! આ દુઃખ આવ્યું હોય તો એને જરા કહેવું તો જોઇએ ને કે, ‘અહીં કેમ આવ્યાં છો ? અમે તો દાદાના છીએ. તમારે અહીં આવવાનું નહીં. તમે જાઓ બીજી જગ્યાએ. અહીં ક્યાં આવ્યા તમે ? તમે ઘર ભૂલ્યા.’ એટલું એમને કહીએ તો એ જતા રહે. આ તો તમે બિલકુલ અહિંસા કરી (!) દુઃખ આવે તો તેમને ય પેસવા દેવાના ? એમને તો કાઢી મૂકવાના, એમાં અહિંસા તૂટતી નથી. દુઃખનું અપમાન કરીએ તો એ જતાં રહે. તમે તો તેનું અપમાને ય કરતા નથી. એટલા બધા અહિંસક ના થવાય. પ્રશ્નકર્તા : દુઃખને મનાવીએ તો ના જાય ? દાદાશ્રી : ના. એને મનાવાય નહીં. એને પટાવીએ તો એ પટાવાય નહીં એવું છે. એને તો આંખ કાઢવી પડે. એ નાન્યતર જાતિ છે. એટલે એ જાતિનો સ્વભાવ જ એવો છે. એને અટાવીએ પટાવીએ તો એ વધારે તાબોટા પાડે અને આપણી પાસે ને પાસે આવતું જાય ! ‘વારસ અહો મહાવીરના, શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઇ દી, કષ્ટો સદા કંપાવજો.’ આપણે ઘરમાં બેઠાં હોઇએ ને કષ્ટો આવે તો તે આપણને દેખીને કંપી જાય ને એ જાણે કે આપણે અહીં ક્યાં ફસાયા ! આપણે ઘર ભૂલ્યાં લાગે છે ! આ કષ્ટો આપણાં માલિક નથી, એ તો નોકરો છે. જો કષ્ટો આપણાંથી ધ્રૂજે નહીં તો આપણે ‘દાદાનાં’ શેનાં ? કષ્ટને કહીએ કે, ‘બે જ કેમ આવ્યાં ? પાંચ થઇને આવો. હવે તમારાં બધાં જ પેમેન્ટ કરી દઇશું.’ કોઇ આપણને ગાળ ભાંડે તો આપણું જ્ઞાન તેને શું કહે ? એ તો ‘તને’ ઓળખતો જ નથી. ઊલટું તારે એને કહેવાનું કે, ‘ભાઇ, કંઇ ભૂલ થઇ હશે તેથી ગાળ ભાંડી ગયો. માટે શાંતિ રાખજે.’ આટલું કર્યું કે તારું ‘પેમેન્ટ’ થઇ ગયું ! આ લોકો તો કષ્ટો આવે એટલે (પા.૨૩)બૂમાબૂમ કરે કે, ‘હું મરી જ ગયો !’ એમ બોલે. મરવાનું એક વખત ને બોલે સો સો વખત કે ‘હું મરી ગયો !?’ અલ્યા, જીવતો છું ને શું કામ મરી ગયો છું, એમ બોલે છે ? મર્યા પછી બોલજે ને કે ‘હું મરી ગયો.’ જીવતો કંઇ મરી જાય ? ‘હું મરી ગયો’ એ તો આખી જિંદગીમાં બોલવાનું વાક્ય નથી. સાચા દુઃખને જાણવું જોઇએ કે દુઃખ કોને કહેવાય ? આ બાબાને હું માર માર કરું છું તો ય એ રડતો નથી ને હસે છે, એનું શું કારણ? અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના એને વાગ્યાનું દુઃખ નથી, એનું અપમાન કર્યું તેનું એને દુઃખ છે. આને દુઃખ કહેવાય જ કેમ ? દુઃખ તો કોને કહેવાય કે ખાવાનું ના મળે, સંડાસ જવાનું ના મળે, પેશાબ કરવાનો ના મળે તેને દુઃખ કહેવાય. આ તો સરકારે ઘેરઘેર સંડાસ કરી આપ્યાં છે, નહીંતર તો પહેલાં ગામમાં લોટા લઇને જંગલમાં જવું પડતું હતું. હવે તો બેડરૂમમાંથી ઊઠયા કે આ સંડાસ ! પહેલાંના ઠાકોરને ય ત્યાં નહોતી એવી સગવડ આજના મનુષ્યો ભોગવે છે. ઠાકોરને ય સંડાસ જવા લોટો લઇને જવું પડતું ! એણે જુલાબ લીધો હોય તો ઠાકોરે ય દોડે ! અને આખો દહાડો આમ થઇ ગયું ને તેમ થઇ ગયું એવી બૂમાબૂમ કરે છે. અલ્યા શું થઇ ગયું તે ? આ પડી ગયું, પેલુ પડી ગયું ! શું પડી ગયું? વગર કામના શું કામ બૂમાબૂમ કરો છો ? આ દુઃખ છે તે અવળી સમજણનું છે. જો સાચી સમજણ ફીટ કરે તો દુઃખ જેવું છે જ નહીં. આ આપણો પગ પાક્યો હોય તો આપણે તપાસ કરવાની કે મારા જેવું દુઃખ લોકોને છે કે કેમ ? દવાખાનામાં જોઇ આવીએ ત્યારે ખબર પડે કે ઓહોહો ! દુઃખ તો અહીં જ છે. મારા પગે જરાક થયું છે ને હું નાહક દુઃખી થઇ રહ્યો છું. આ તો તપાસ તો કરવી પડે ને ! વગર તપાસે દુઃખ માની લઇએ તે પછી શું થાય ? તમને બધા પુણ્યશાળીઓને દુઃખ હોય જ કેવી રીતે ? તમે પુણ્યશાળીને ઘેર જન્મ્યા. થોડીક મહેનતે આખા દિવસનો ખોરાક મળ્યા કરે. (પા.૨૪)પ્રશ્નકર્તા : સહુને પોતાનું દુઃખ મોટું લાગે ને ? દાદાશ્રી : એ તો પોતે ઊભું કરેલું એટલે જેટલું મોટું કરવું હોય તેટલું થાય, ચાળીસ ગણું કરવું હોય તો તેટલું થાય ! ... નક્કી કરવા જેવો ‘પ્રોજેક્ટ’ !આ મનુષ્યોને જીવન જીવતાં જ ના આવડ્યું, જીવન જીવવાની ચાવી જ ખોવાઇ ગઇ છે. ચાવી બિલકુલ ખોવાઇ ગઇ હતી; તે હવે પાછું કંઇક સારું થયું છે. આ અંગ્રેજો આવ્યા પછી લોકો પોતાના ચુસ્ત સંસ્કારમાંથી ઢીલાં પડ્યાં, એટલે બીજામાં ડખોડખલ ના કરે ને મહેનત કર્યા કરે. પહેલાં તો નર્યો ડખલો જ કરતા હતા. આ લોકો વગર કામના માર ખા ખા કરે છે. આ જગતમાં તમારો કોઇ બાપો ય ઉપરી નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. તમારો પ્રોજેક્ટ પણ સ્વતંત્ર છે, પણ તમારો પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે કોઈ જીવને તમારા થકી કિંચિત્માત્ર દુઃખ ના થાય. તમારો પ્રોજેક્ટ બહુ મોટો કરો, આખી દુનિયા જેવો કરો. પ્રશ્નકર્તા : એ શક્ય છે ? દાદાશ્રી : હા. મારો બહુ મોટો છે. કોઇ પણ જીવને દુઃખ ના થાય એવી રીતે હું રહું છું. પ્રશ્નકર્તા : પણ બીજા માટે તો એ શક્ય નથી ને ? દાદાશ્રી : શક્ય નથી, પણ એનો અર્થ એવો નથી કે બધા જીવોને દુઃખ આપીને આપણો પ્રોજેક્ટ કરવો. એનો કંઇક નિયમ તો રાખવો જોઇએ ને કે ઓછામાં ઓછું કોઇને દુઃખ થાય એવો પ્રોજેક્ટ કરી શકાય ?! હું તમને તદ્ન અશક્ય છે તે કરવાનું નથી કહેતો. ... માત્ર ભાવના જ કરવાની !પ્રશ્નકર્તા : કોઇને દુઃખ જ નથી, તો પછી આપણે બીજાને દુઃખ (પા.૨૫)દઇએ તો એને દુઃખ કેવી રીતે થાય ? દાદાશ્રી : દુઃખ એની માન્યતામાંથી ગયેલું નથી ને ? તમે મને ધોલ મારો તો મને દુઃખ નહીં થાય, પણ બીજાને તો એની માન્યતામાં એનાથી દુઃખ છે એટલે એને મારશો તો એને દુઃખ થશે જ. ‘રોંગ બિલીફ’ હજી ગઇ નથી. કોઇ આપણને ધોલ મારે તો આપણને દુઃખ થાય છે, એ ‘લેવલ’થી જોવું. કો’કને ધોલ મારતી વખતે મનમાં આવવું જોઇએ કે મને ધોલ મારે તો શું થાય ? આપણે કોઇની પાસેથી રૂપિયા દસ હજાર ઉછીના લાવ્યા, પછી આપણા સંજોગ અવળા થયા એટલે મનમાં વિચાર આવે કે ‘પૈસા પાછા નહીં આપું તો શું થવાનું છે !’ તે ઘડીએ આપણે ન્યાયથી તપાસ કરવી જોઈએ કે, ‘મારે ત્યાંથી કોઈ પૈસા લઈ ગયો હોય ને એ મને પાછા ના આપે તો શું થાય મને?’ એવી ન્યાયબુદ્ધિ જોઇએ. એમ થાય તો મને બહુ જ દુઃખ થાય, તેમ સામાને પણ દુઃખ થશે. માટે મારે પૈસા પાછા આપવા જ છે’ એવું નક્કી જોઇએ અને એવું નક્કી કરો તો પાછું આપી શકાય. પ્રશ્નકર્તા : મનમાં એમ થાય કે આ દસ કરોડનો આસામી છે તો આપણે તેને દસ હજાર નહિ આપીએ તો કંઇ તકલીફ નહીં થાય. દાદાશ્રી : એને તકલીફ નહિ થાય એવું તમને ભલે લાગતું હોય, પણ તેવું નથી. એ કરોડપતિ એના છોકરા માટે એક રૂપિયાની વસ્તુ લાવવી હોય તો સાચવી સાચવીને લાવે. કોઇ કરોડપતિને ઘેર તમે પૈસા રખડતા મૂકેલા જોયા ? પૈસો દરેકને જીવ જેવો વહાલો હોય છે. આપણા ભાવ એવા હોવા જોઇએ કે આ જગતમાં આપણાં મન, વચન, કાયાથી કોઇ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો. પ્રશ્નકર્તા : પણ એ રીતે સામાન્ય મનુષ્યને અનુસરવું મુશ્કેલ પડે ને? દાદાશ્રી : હું તમને આજે ને આજે તે પ્રમાણે વર્તવાનું કહેતો નથી. માત્ર ભાવના જ કરવાની કહું છું. ભાવના એટલે તમારો નિશ્ચય. (પા.૨૬)[4] ‘ફેમિલી ઓર્ગેનાઇઝેશન’ !આ તે કેવી ‘લાઇફ’ ?!‘ફેમિલી ઓર્ગેનાઇઝેશન’નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને ‘હાઉ ટુ ઓર્ગેનાઇઝ ફેમિલી’ એ જ્ઞાન જ ખૂટે છે. ફોરેનવાળા તો ફેમિલી જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, ‘તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં !’ એમને ‘ફેમિલી ઓર્ગેનાઇઝ’ કરવાની બહુ ટેવ જ નથી ને ? અને એમની ફેમિલી તો ચોખ્ખું જ બોલે. મેરી જોડે વિલિયમને ના ફાવ્યું એટલે ડાયવોર્સની જ વાત ! અને આપણે તો ક્યાં ડાયવોર્સની વાત ?! આપણે તો જોડે ને જોડે જ રહેવાનું, કકળાટ કરવાનો ને પાછું સૂવાનું ય ત્યાં જ, એની એ જ રૂમમાં ! આ જીવન જીવવાનો રસ્તો નથી. આ ફેમિલી લાઇફ ના કહેવાય. અરે, આપણી ડોસીઓને જીવન જીવવાનો રસ્તો પૂછયો હોત તો કહેત કે, ‘નિરાંતે ખાઓ, પીઓ, ઉતાવળ શું કામ કરો છો ?’ માણસને શેની ‘નેસેસિટી’ છે, તેની પહેલાં તપાસ કરવી પડે. બીજી બધી અન્નેસેસિટી. એ અન્નેસેસિટીની વસ્તુઓ માણસને ગૂંચવે, પછી ઊંઘની ગોળીઓ ખાવી પડે ! આ ઘરમાં શા માટે લડાઇઓ થાય છે ? છોકરાં જોડે કેમ વઢવાડ થાય છે ? એ બધું જાણવું તો પડે ને ? આ છોકરો સામો થાય ને એને માટે ડોક્ટરને પૂછીએ કે ‘કાંઇ બતાવો.’ પણ એ શી દવા બતાવે ? એની જ બૈરી એની સામે થતી હોય ને ! આ તો આખી જિંદગી રૂની સર્વે કરે, કોઇ લવિંગની સર્વે કરે, કાંઇ (પા.૨૭)ને કાંઈ સર્વે કરે, પણ અંદરની સર્વે કોઇ દહાડો નથી કરી ! શેઠ તમારી સુગંધ તમારા ઘરમાં આવે છે ? પ્રશ્નકર્તા : સુગંધ એટલે શું ? દાદાશ્રી : તમારા ઘરના બધા માણસોને તમે રાજી રાખો છો ? ઘરમાં કકળાટ થતો નથી ને ? પ્રશ્નકર્તા : કકળાટ તો થાય છે. રોજ થાય છે. દાદાશ્રી : તે કઇ જાતના પાક્યા તમે ? વહુને શાંતિ ના આપી, છોકરાંને શાંતિ ના આપી ! અરે, તમારી જાતને પણ શાંતિ ના આપી ! તમારે મોક્ષે જવું હોય તો મારે વઢવું પડશે અને તમારે દેવગતિમાં જવું હોય તો બીજો સરળ રસ્તો તમને લખી આપું. પછી તો હું તમને ‘આવો શેઠ, પધારો.’ એમ કહું. મને બેઉ ભાષા આવડે. આ ભ્રાંતિની ભાષા હું ભૂલી નથી ગયો. પહેલાં ‘તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના’ હતી, તે અત્યારે તુમડે તુમડે મતિર્ભિન્ના થઇ ગઇ છે ! તુન્ડે ય ગયાં ને તુમડાં રહ્યાં ! સંસારના હિતાહિતનું ય કોઇ ભાન નથી. આવું સંસ્કાર સિંચન શોભે ?મા-બાપ તરીકે કેમ રહેવું તેનું ય ભાન નથી. એક ભાઇ હતા તે પોતાની બૈરીને બોલાવે છે. ‘અરે, બાબાની મમ્મી ક્યાં ગઇ ?’ ત્યારે બાબાની મમ્મી મહીંથી બોલે, કેમ શું છે ? ત્યારે ભાઇ કહે, ‘અહીં આવ, જલદી જલદી અહીં આવ, જો જો, તારા બાબાને ! કેવું પરાક્રમ કરતા આવડે છે, એ જો તો ખરી !! બાબાએ પગ ઊંચા કરીને મારા ગજવામાંથી કેવા દસ પૈસા કાઢયા ! કેવો હોંશિયાર થયો છે બાબો !’ મેર ચક્કર, ઘનચક્કર આવા કંઇથી પાક્યા ! આ બાપ થઇ બેઠા ! શરમ નથી આવતી ? આ બાબાને કેવું ઉત્તેજન મળ્યું એ સમજાય છે ? બાબાએ જોયા કર્યું કે આપણે બહુ મોટું પરાક્રમ કર્યું ! આવું તે શોભે ? કંઇ કાયદેસર હોવુ જોઇએ ને ? આ હિન્દુસ્તાનનું મનુષ્યપણું આવું લૂંટાઇ જાય તે શોભે આપણને ? શું બોલવાથી છોકરાંને સારું ‘એનકરેજમેન્ટ’ (પા.૨૮)થાય ને શું બોલવાથી તેને નુકસાન થાય, એનું ભાન તો હોવું જોઇએ ને ? તો ‘અન્ટેસ્ટેડ ફાધર’ ને ‘અન્ટેસ્ટેડ મધર’ છે. બાપ મૂળો ને મા ગાજર, પછી બોલો, છોકરાં કેવાં પાકે ? કંઇ સફરજન ઓછાં થાય ?! પ્રેમમય ડીલિંગ - છોકરાં સુધરે જ !એક બાપે એના છોકરાંને સહેજ જ હલાવ્યો એટલે છોકરો ફાટી ગયો, ને બાપને કહેવા લાગ્યો કે, ‘મારે ને તમારે નહીં ફાવે.’ પછી બાપ છોકરાને કહેવા લાગ્યો કે, ‘ભઇ ! મેં તને કશું ખરાબ નથી કહ્યું તું શું કામ ગુસ્સે થાય છે ?’ ત્યારે મેં બાપને કહ્યું કે, ‘હવે શું કામ ઓરડો ધૂઓ છો ? પહેલાં હલાવ્યું શું કામ ? કોઇને હલાવશો નહીં, આ પાકાં ચીભડાં છે. કશું બોલશો નહીં. મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ. ખઇ, પીને મોજ કરો.’ પ્રશ્નકર્તા : આ છોકરાં ખરાબ લાઇને ચઢી જાય તો માબાપની ફરજ છે ને કે એને વાળવો જોઇએ ? દાદાશ્રી : એવું છે ને, કે માબાપ થઇને એને કહેવું જોઇએ, પણ માબાપ છે જ ક્યાં અત્યારે ? પ્રશ્નકર્તા : માબાપ કોને કહેવાય ? દાદાશ્રી : માબાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઇને ચઢયો હોય છતાંય એક દહાડો માબાપ કહેશે, ભઇ, આ આપણને શોભે નહીં, આ તેં, શું કર્યું ? તે બીજે દહાડેથી એનું બંધ થઇ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં માબાપ. આ જગત પ્રેમથી જ વશ થાય. આ માબાપને છોકરાં પર કેટલો પ્રેમ છે-ગુલાબના છોડ પર માળીનો પ્રેમ હોય તેટલો ! આને માબાપ કેમ કહેવાય ? ‘અન્સિર્ટિફાઇડ ફાધર’ ને ‘અન્સર્ટિફાઇડ મધર’ ! પછી છોકરાંની શી સ્થિતિ થાય ? ખરી રીતે પહેલાં ‘ટેસ્ટિગ’ કરાવીને, ‘સર્ટિફિકેટ’ મેળવીને પછી જ પરણવાની છૂટ હોવી જોઇએ. પરીક્ષામાં પાસ થયા વગર, સર્ટિફિકેટ વગર ‘ગવર્મેન્ટ’માં ય નોકરીએ લેતા નથી, તો આમાં ‘સર્ટિફિકેટ’ વગર પૈણાવાય શી રીતે ? આ મા કે બાપ તરીકેની જવાબદારી દેશના વડાપ્રધાન (પા.૨૯)તરીકેની જવાબદારી કરતાં ય વધારે છે, વડાપ્રધાન કરતાં ય ઊંચું પદ છે. પ્રશ્નકર્તા : ‘સર્ટિફાઇડ ફાધર-મધર’ની વ્યાખ્યા શું ? દાદાશ્રી : ‘અન્સર્ટિફાઇડ’ મા-બાપ એટલે પોતાનાં છોકરાં પોતાના કહ્યા પ્રમાણે ચાલે નહીં, પોતાના છોકરાં પોતાના ઉપર ભાવ રાખે નહીં, હેરાન કરે ! તે મા-બાપ ‘અન્સર્ટિફાઇડ’ જ કહેવાય ને ? ... નહીં તો મૌન ધરી ‘જોયા’ કરો !!!એક સિંધીભાઇ આવેલા તે કહે કે એક છોકરો આમ કરે છે ને બીજો તેમ કરે છે, એને શી રીતે સુધારવો ! મે કહ્યું, ‘તમે એવા છોકરા શું કરવા લાવ્યા ? છોકરા સારા વીણીને આપણે ના લઇએ ?’ આ હાફૂસની કેરીઓ બધી એક જાતની હોય છે તે બધી મીઠી જોઇને, ચાખી કરીને બધી લાવીએ. પણ તમે બે ખાટી લાવ્યા, બે ઉતરેલી લાવ્યા, તૂરી લાવ્યા, બે ગળી લાવ્યા, પછી એના રસમાં બરકત આવે ખરી ? પછી વઢંવઢા કરીએ એનો શો અર્થ ? આપણે ખાટી કેરી લાવ્યા પછી ખાટીને ખાટી જાણવી તેનું નામ જ્ઞાન. આપણને ખાટો સ્વાદ આવ્યો તે જોયા કરવાનું. આ પ્રકૃતિને જોયા કરવાની છે. કોઇના હાથમાં સત્તા નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે. આમાં કોઇનું કશું ચાલે નહીં, ફેરફાર થાય નહીં ને પાછું વ્યવસ્થિત છે. પ્રશ્નકર્તા : મારવાથી છોકરાં સુધરે કે નહીં ? દાદાશ્રી : કોઇ દહાડો સુધરે નહીં, મારવાથી કશું સુધરે નહીં. આ મશીન ને મારી જુઓ તો ! એ ભાંગી જાય. તેમ આ છોકરાં ય ભાંગી જાય. ઉપરથી સાજાસમા દેખાય, પણ મહીં ભાંગી જાય. બીજાને એનકરેજ કરતા ના આવડે તો પછી મૌન રહે ને, ચા પીને છાનોમાનો. બધાંના મોઢાં જોતો જા, આ બે પૂતળાં કકળાટ માંડે છે તેને જોતો જા. આ આપણા કાબુમાં નથી. આપણે તો આના જાણકાર જ છીએ. જેને સંસાર વધારવો હોય તેણે આ સંસારમાં વઢંવઢા કરવી, બધુંય કરવું. જેને મોક્ષે જવું હોય તેને અમે ‘શું બને છે’ તેને ‘જુઓ’ એમ કહીએ છીએ. (પા.૩૦)આ સંસારમાં વઢીને કશું સુધરવાનું નથી, ઊલટો મનમાં અહંકાર કરે છે કે હું ખૂબ વઢયો. વઢયા પછી જુઓ તો માલ હતો તેનો તે જ હોય, પિત્તળનો હોય તે પિત્તળનો જ ને કાંસાનો હોય તે કાંસાનો જ રહે. પિત્તળને માર માર કરે તો એને કાટ ચઢયા વગર રહે ? ના રહે. કારણ શું ? તો કે’ કાટ ચઢવાનો સ્વભાવ છે એનો. એટલે મૌન રહેવાનું. જેમ સિનેમામાં ના ગમતો સીન આવે તો તેથી કરીને ત્યાં આપણે જઇને પડદો તોડી નાખવો ? ના, એ ય જોવાનું. બધા જ ગમતા સીન આવે કંઇ ? કેટલાક તો સિનેમામાં ખુરશી પર બેઠા બેઠા બૂમાબૂમ કરે કે, એ ય મારી નાખશે, મારી નાખશે ! આ મોટા દયાળુનાં ખોખાં જોઇ લ્યો ! આ તો બધું જોવાનું છે. ખાવ, પીવો, જુઓ ને મઝા કરો !! ... પોતાનું જ સુધારવાની જરૂર !પ્રશ્નકર્તા : આ છોકરાં શિક્ષકની સામે થઇ જાય છે, તે ક્યારે સુધરશે ? દાદાશ્રી : જે ભૂલના પરિણામ ભોગવે તેની ભૂલ છે. આ ગુરુઓ જ ઘનચક્કરો પાક્યા છે તે શિષ્યો સામા થાય છે. આ છોકરાં તો ડાહ્યા જ છે, પણ ગુરુઓ ને મા-બાપ ઘનચક્કર પાક્યાં છે ! અને વડીલો જૂની પક્કડ પકડી રાખે પછી છોકરાં સામાં થાય જ ને ? અત્યારે મા-બાપનું ચારિત્ર્ય એવું હોતું નથી કે છોકરાં સામાં ના થાય. આ તો વડીલોનું ચારિત્ર્ય ઘટી ગયું છે, તેથી છોકરાં સામાં થાય છે. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઇ શકે છે. લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે. પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે ? માટે પહેલાં તમારા પોતાના બગીચાનું સંભાળો પછી બીજાનું જોવા જાવ. તમારું સંભાળશો તો જ ફળફૂલ મળશે. ડખો નહીં, ‘એડજસ્ટ’ થવા જેવું !સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તનપણાને (પા.૩૧)પામ્યા કરે. ત્યારે આ ઘૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઇને મરી જઇશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઇએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને તું ખોટો છે એવું ના કહીએ. કારણ કે એનો એ ‘વ્યૂ પોઇન્ટ’ છે. ત્યારે લોક એને નાલાયક કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? ‘સાવ જુઠ્ઠો કેસ જિતાડી આપીશ’ એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદ્ન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનું ય ચાલે છે ને ? કોઇને ય અમે ખોટો ના કહીએ. એ એના ‘વ્યૂ પોઇન્ટ’થી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે તેનું ફળ તને શું આવશે. આ ઘૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, ‘આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?’ એમ ડખો કરે. અલ્યા, કોઇ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઇક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઇસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઇએ. આ તો ઘૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઇ રહ્યું છે કે છતું થઇ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઇને સત્તા જ નથી આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે, જમાના પ્રમાણે એડજસ્ટ થાવ ! છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, આવું કંઇથી લઇ આવ્યો ? એના કરતાં એડજસ્ટ થઇએ કે, આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાની આવી ? બહુ સસ્તી મળી ? આમ એડજસ્ટ થઇ જઇએ. આ છોકરાંઓ આખો દહાડો કાને રેડિયો નથી અડાડી રાખતા ? (પા.૩૨)કારણ કે આ રસ નવો નવો ઉદયમાં આવ્યો છે બિચારાને ! આ એનું નવું ‘ડેવલપમેન્ટ’ છે. જો ‘ડેવલપ’ થયેલો હોત તો કાને રેડિયો અડાડત જ નહીં, એક ફેરો જોઇ લીધા પછી ફરી અડાડે નહીં. નવીન વસ્તુને એક ફેર જોવાની હોય, એનો કાયમ અનુભવ લેવાનો ના હોય. આ તો કાનની નવેસરથી ઇન્દ્રિય આવી છે તેથી આખો દહાડો રેડિયો સાંભળ્યા કરે છે ! મનુષ્યપણાની તેમની શરૂઆત થાય છે. મનુષ્યપણામાં હજારો વખત આવી ગયેલો માણસ આવું તેવું ના કરે. પ્રશ્નકર્તા : છોકરાઓને ફરવાનું બહુ હોય છે. દાદાશ્રી : છોકરાં કોઇ આપણાં બંધાયેલાં નથી, સહુસહુના બંધનમાં છે, આપણે તો એટલું કહેવું પડે કે, ‘વહેલા આવજો’. પછી જ્યારે આવે ત્યારે ‘વ્યવસ્થિત’. વ્યવહાર બધો કરવાનો, પણ કષાયરહિત કરવાનો. વ્યવહાર કષાયરહિત થયો તો મોક્ષ ને કષાયસહિત વ્યવહાર તે સંસાર. પ્રશ્નકર્તા : અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે, કશું કામ થતું નથી. દાદાશ્રી : આપણે તેને ઓઢાડીને કહીએ કે નિરાંતે સૂઇ જા ભાઇ. એની પ્રકૃતિ જુદી તે મોડો ઊઠે ને કામ વધારે કરે ને અક્કરમી ચાર વાગ્યાનો ઊઠયો હોય તો ય કશું ના કરે. હું ય દરેક કામમાં હમેશાં લેટ હતો. સ્કૂલમાં ય ઘંટ સાંભળ્યા પછીથી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકળાટ સાંભળતો ! હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શું છે ? દરેકનું ‘રસ્ટન’ જુદું ‘પીસ્ટન’ જુદું જુદું હોય. પ્રશ્નકર્તા : પણ મોડામાં ‘ડિસિપ્લિન’ ના રહે ને ? દાદાશ્રી : આ મોડો ઊઠે એટલા માટે તમે કકળાટ કરો તે જ ‘ડિસિપ્લિન’ નથી. માટે તમે કકળાટ કરવાનું બંધ કરી દો. તમારે જે જે શક્તિઓ માગવી હોય, તે આ દાદા પાસે રોજ સો-સો વખત માંગજો, બધી મળશે. હવે આ ભાઇને સમજ પાડી, એટલે એમણે તો અમારી આજ્ઞા પાળીને ભત્રીજાને ઘરમાં બધાંએ કશું કહેવાનું બંધ કર્યું. અઠવાડિયા પછી (પા.૩૩)પરિણામ એ આવ્યું કે ભત્રીજો એની જાતે સાત વાગે ઊઠતો થઇ ગયો ને ઘરમાં બધા કરતાં વધારે સારું કામ કરતો થયો ! સુધારવા માટે ‘કહેવાનું’ બંધ કરો !આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઇને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ગાડીએ વહેલો જા. તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઇમે જાય. આપણે ના હોઇએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઇ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો રિલેટિવ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય. પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી. દાદાશ્રી : જવાબદારી વ્યવસ્થિત ની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો માબાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે. પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઇથી બોલે છે. દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય. (પા.૩૪)એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઇ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઇ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઇને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઇનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ’ની વાણીથી સુધરે. છોકરાં માટે તો માબાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને કાપી ના નાખવું. બગડેલાને સુધારવું એ અમારાથી થઇ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે ? પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ? છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહીના મૌન લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું. અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. ‘રિલેટિવ’ સમજી ઉપલક રહેવું !છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાના, પછી ચલાવવાના, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી. પછી છોડી દેવાનાં, આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય. છોકરાં જોડે ઉપલક રહેવાનું. ખરી રીતે પોતાનું કોઇ છે જ નહીં. આ દેહના આધારે મારાં છે. દેહ બળી જાય તો કોઇ જોડે આવે છે ? આ તો જે મારો કહી કોટે વળગાડે છે, તેને બહુ ઉપાધિ છે. બહુ લાગણીના વિચાર કામ લાગે નહીં. છોકરો વ્યવહારથી છે. છોકરો દાઝે તો દવા કરીએ, પણ આપણે કંઇ રડવાની શરત કરેલી છે ? ઓરમાન છોકરાં હોય તે ઢીંચણે કરીને કંઇ ધાવણ આવે ? ના, એવું રાખવું. આ કળિયુગ છે. ‘રિલેટિવ’ સગાઇ છે. ‘રિલેટિવ’ ને ‘રિલેટિવ’ રાખવું, ‘રિયલ’ ના કરવું. આ રિયલ સંબંધ હોય તો છોકરાંને (પા.૩૫)કહીએ કે તું સુધરે નહીં ત્યાં સુધી જુદો રહે. પણ આ તો રિલેટિવ સગાઇ છે માટે - એડજસ્ટ એવરીવ્હેર. આ તમે સુધારવા નથી આવ્યા, તમે કર્મના સકંજામાંથી છૂટવા આવ્યા છો. સુધારવા કરતાં સારી ભાવના ભાવો. બાકી કોઇ કોઇને સુધારી ના શકે. એ તો જ્ઞાની પુરુષ સુધરેલા હોય તે બીજાંને સુધારી શકે. માટે તેમની પાસે લઇ જાવ. આ બગડે છે શાનાથી ? છંછેડવાથી. આખા વર્લ્ડનું કામ છંછેડવાથી બગડ્યું છે. આ કૂતરાંને ય છંછેડો તો કૈડી ખાય, બચકું ભરે. એટલા માટે લોક કૂતરાંને છંછેડતા નથી. આ મનુષ્યોને છંછેડે તો શું થાય ? એ ય બચકું ભરશે. માટે ના છંછેડશો. આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવતરી થઇ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઇ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વેષે ય ઊડી જાય ને વીતરાગ થઇ જવાય. અગુરુ-લઘુ સ્વભાવનો થઇ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે. સલાહ આપવી પણ ના છૂટકે !અમારી પેઠ ‘અબુધ’ થઇ ગયો તો કામ જ થઇ ગયું. બુદ્ધિ વપરાઇ તો સંસાર ઊભો થયો પાછો. ઘરનાં પૂછે તો જ જવાબ આપવો આપણે અને તે વખતે મનમાં થાય કે આ ના પૂછે તો સારું એવી આપણે બાધા રાખવી. કારણ કે ના પૂછે તો આપણે આ મગજ ચલાવવું ના પડે. એવું છે ને, કે આપણા આ જૂના સંસ્કાર બધા ખલાસ થઇ ગયા છે. આ દુષમકાળ જબરજસ્ત વ્યાપેલો છે, સંસ્કારમાત્ર ખલાસ થઇ ગયા છે. માણસને કોઇને સમજણ પાડતાં આવડતી નથી. બાપ છોકરાંને કંઇક કહે તો છોકરો કહેશે કે, ‘મારે તમારી સલાહ નથી સાંભળવી.’ ત્યારે સલાહ આપનારો કેવો ને લેનારે કેવો ? કઇ જાતના લોક ભેગા થયા છો ?! આ લોક તમારી વાત શાથી નથી સાંભળતા ? સાચી નથી તેથી. સાચી હોય તો સાંભળે કે ના સાંભળે ? આ લોક શાથી કહે છે ? આસક્તિને લીધે કહે છે. આ આસક્તિને લીધે તો પોતે પોતાના અવતાર બગાડે છે. (પા.૩૬)હવે, આ ભવમાં તો સાચવી લઈએ !બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે, કશું બોલવા જેવું નથી. ‘પોતાનો’ ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ ય ભમરડા ને તે ય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહે ને કે, તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ? અને ના હોય તો હાથમાં માળા લઇ ને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે, આ તો માળામાં છે. મેલો ને પૈડ ! આપણે શી લેવા-દેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચ કચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે. સાચી સગાઈ કે પરભારી પીડા ?!બાબો માંદો હોય તો આપણે દવા બધી કરીએ, પણ બધું ઉપલક. આપણા છોકરાંને કેવા માનવા જોઇએ ? ઓરમાન. છોકરાંને મારા છોકરાં કહે અને છોકરાં ય મારી મા કહે, પણ મહીં લાંબી સગાઇ નહીં. એટલે આ કાળમાં ઓરમાઇ સગાઇ રાખજો, નહીં તો માર્યા ગયા જાણજો. છોકરાં કોઇને મોક્ષે લઇ જનારાં નથી. જો તમે ડાહ્યા થશો તો છોકરાં ડાહ્યાં થશે. છોકરાં જોડે વહાલ તે કરાતું હશે ? આ વહાલ તો ગોળી મારે. વહાલ દ્વેષમાં ફરી જાય. પરાણે પ્રીત કરીને ચલાવી લેવાનું. બહાર ‘સારું લાગે છે’ તેમ કહેવાનું. પણ મહીં જાણીએ કે પરાણે પ્રીતિ કરી રહ્યા છીએ, આ ન હોય સાચી સગાઇ. છોકરાની સગાઇની ક્યારે ખબર પડે કે જ્યારે આપણે એક કલાક એને મારીએ, ગાળો દઇએ ત્યારે એ કલદાર છે કે નહીં, એની ખબર પડે. જો તમારો સાચો દીકરો હોય તો તમારા મારી રહ્યા પછી એ તમને પગે લાગીને કહે કે ‘બાપુજી, તમારો હાથ બહુ (પા.૩૭)દુઃખતો હશે !’ આવું કહેનારો હોય તો સાચી સગાઇ રાખીએ. પણ આ તો એક કલાક છોકરાને ટૈડકાવીએ તો છોકરો મારવા ફરી વળે ! આ તો મોહને લઇને આસક્તિ થાય છે. ‘રિયલ છોકરો’ કોને કહેવાય કે બાપ મરી જાય એટલે છોકરો સ્મશાનમાં જઇને કહે કે ‘મારે મરી જવું છે.’ કોઇ છોકરો બાપ જોડે જાય છે તમારા મુંબઇમાં ? આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાંખો, પણ આ તો બાપ જ છોકરાં પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આપણે બાપ તરીકેની બધી જ ફરજો બજાવવાની, જેટલી ઘટિત હોય તેટલી બધી જ બજાવવાની. એક બાપ એના છોકરાને છાતીએ ‘આમ’ દબાવ દબાવ કરતો હતો, તે ખૂબ દબાવ્યો એટલે છોકરાએ બાપને બચકું ભરી લીધું ! કોઇ આત્મા કોઇનો પિતા-પુત્ર હોઇ શકે જ નહીં. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળાં છોકરાં થઇને આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે, મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી તો ઘરાક શું કરે ? મારે.આ તો રિલેટિવ સગઇઓ છે, આમાંથી કષાયો ઊભા થાય. આ રાગ કષાયમાંથી દ્વેષ કષાય ઊભો થાય. ઉછાળે ચઢવાનું જ નહીં. આ દૂધપાક ઉભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે. ... છતાં ઘટિત વ્યવહાર કેટલો ?પ્રશ્નકર્તા : છોકરાંની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે એ સમજાતું નથી. દાદાશ્રી : જેટલું સામા જઇને કરીએ છીએ એ જ દોઢડહાપણ છે, તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે, ‘બાપુજી મને ફી આપો.’ ત્યારે આપણે કહીએ કે, ‘ભઇ પૈસા કંઇ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.’ એમ કહીને બીજે દહાડે આપવા. છોકરાં તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી પાણી જ આપે છે. માટે છોકરાં જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઇ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો (પા.૩૮)બગડી જાય. અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલે ય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઇ જવાનું. છોકરાંને કહેવું કે, કંઇ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઇ અડચણ હોય તો પૂછજો. અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં. આ તો છોકરાના ગજવામાંથી પૈસા નીચે પડ પડ કરતા હોય તો બાપ બૂમાબૂમ કરી મેલે, ‘એય ચંદુ, એય ચંદુ !’ આપણે શું કામ બૂમાબૂમ કરીએ ? એની મેળે પૂછશે ત્યારે ખબર પડશે. આમાં આપણે કકળાટ ક્યાં કરીએ ? અને આપણે ના હોત તો શું થાત ? ‘વ્યવસ્થિત’ના તાબામાં છે, અને વગર કામનો ડખો કરીએ છીએ. સંડાસે ય ‘વ્યવસ્થિત’ના તાબામાં છે, અને તમારું તમારી પાસે છે. પોતાના સ્વરૂપમાં પોતે હોય ત્યાં પુરુષાર્થ છે. અને પોતાની-સ્વસત્તા છે. આ પુદ્ગલમાં પુરુષાર્થ છે જ નહીં. પુદ્ગલ પ્રકૃતિને આધીન છે. છોકરાંનો અહંકાર જાગે ત્યારે પછી તેને કશું કહેવાય નહીં અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરાં પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી કહેવાની છૂટ અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવી ય પડે. પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામે ય ન લેવાય, કશું અક્ષરે ય બોલાય નહીં, બોલવું એ ગુનો કહેવાય. નહીં તો કો’ક દહાડો બંદૂક મારી દે. પ્રશ્નકર્તા : આ ‘અન્સર્ટિફાઇડ’ ‘ફાધર’ અને ‘મધર’ થઇ ગયાં છે એટલે આ પઝલ ઊભું થાય છે ? દાદાશ્રી : હા, નહીં તો છોકરાં આવાં હોય જ નહીં, છોકરાં કહ્યાગરાં હોય. આ તો મા-બાપ જ ઠેકાણાં વગરનાં છે. જમીન એવી છે, બીજ એવું છે, માલ રાશી છે ! ઉપરથી કહે કે મારાં છોકરાં મહાવીર પાકવાના છે ! મહાવીર તે પાકતા હશે ? મહાવીરની મા તો કેવી હોય !! બાપ જરા વાંકા-ચૂંકા હોય તો ચાલે, પણ મા કેવી હોય ?! પ્રશ્નકર્તા : છોકરાંના ઘડતર માટે કે સંસ્કાર માટે આપણે કશો વિચાર જ નહીં કરવાનો ? (પા.૩૯)દાદાશ્રી : વિચાર કરવા માટે વાંધો નથી. પ્રશ્નકર્તા : ભણતર તો સ્કૂલમાં થાય, પણ ઘડતરનું શું ? દાદાશ્રી : ઘડતર સોનીને સોંપી દેવાનું, એના ઘડવૈયા હોય તે ઘડે. છોકરો પંદર વરસનો થાય ત્યાં સુધી એને આપણે કહેવું, ત્યાં સુધી આપણે જેવાં છીએ એવો તેને ઘડી આલીએ. પછી એને એની વહુ જ ઘડી આલશે. આ ઘડતાં નથી આવડતું, છતાં લોક ઘડે જ છે ને ?! એથી ઘડતર સારું થતું નથી. મૂર્તિ સારી થતી નથી. નાક અઢી ઈંચનું હોય ત્યારે સાડા ચાર ઈંચનું કરી નાખે ! પછી એની વાઇફ આવશે તે કાપીને સરખું કરવા જશે. પછી પેલો ય પેલીનું કાપશે ને કહેશે, ‘આવી જા.’ ફરજિયાતમાં નાટકીય રહીએ !આ નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઇએ તે કંઇ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે, ‘આ મારો મોટો દીકરો, શતાયુ થા.’ પણ બધું ઉપલક, ‘સુપરફલુઅસ’ નાટકીય. આ બધાંને સાચાં માન્યાં તેના જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત, જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઇ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ દાદા દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે. આ સંસાર તો તાયફો છે નર્યો, મશ્કરી જેવું છે. એક કલાક જો છોકરાં જોડે લડીએ તો છોકરો શું કહે ? ‘તમારે અહીં રહેવું હોય તો હું નહીં રહું.’ બાપા કહે, ‘હું તને મિલકત નહીં આપું.’ તો છોકરો કહે, ‘તમે નહીં આપનારા કોણ ?’ આ તો મારી ઠોકીને લે એવાં છે. અરે, કોર્ટમાં એક છોકરાએ વકીલને કહ્યું કે, ‘મારા બાપની નાકકટ્ટી થાય એવું કરો તો હું તમને ત્રણસો રૂપિયા વધારે આપીશ.’ બાપ છોકરાંને કહે કે, ‘તને આવો જાણ્યો હોત, તો જન્મતાં જ તને મારી નાખ્યો હોત !’ ત્યારે છોકરો કહે કે, ‘તમે મારી ના નાખ્યો તે ય અજાયબી છે ને !!’ આવું નાટક થવાનું તે શી રીતે મારો !! આવાં આવાં નાટક અનંત પ્રકારનાં થઇ ગયાં છે, અરે ! સાંભળતાં ય કાનના પડદા તૂડી જાય !! અલ્યા, આનાથી ય કંઇ જાતજાતનું જગમાં થયું છે, માટે ચેતો જગતથી ! હવે ‘પોતાના’ દેશ (પા.૪૦)ભણી વળો, ‘સ્વદેશ’માં ચાલો. પરદેશમાં તો ભૂતાં ને ભૂતાં જ છે. જ્યાં જાઓ ત્યાં ! કૂતરી બચ્ચાં ધવડાવે છે એ ફરજિયાત છે, એ કંઇ ઉપકાર કરતી નથી. પાડું બે દહાડા ભેંસને ધાવે નહીં તો ભેંસને બહુ દુઃખ થાય. આ તો પાતાની ગરજે ધવડાવે છે. બાપા છોકરાંને મોટાં કરે છે તે પોતાની ગરજે, એમાં નવું શું કર્યું ? એ તો ફરજિયાત છે. છોકરાં જોડે ‘ગ્લાસ વિથ કેર’ !પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તો ય કઇ અસર થતી નથી. દાદાશ્રી : આ રેલવેનાં પાર્સલ પર લેબલ મારેલું તમે જોયું છે ? ‘ગ્લાસ વિથ કેર’ એવું હોય છે ને ? તેમ ઘરમાં પણ ‘ગ્લાસ વિથ કેર’ રાખવું. હવે ગ્લાસ હોય અને તમે હથોડા માર માર કરો તો શું થાય ? એમ ઘરમાં માણસોને કાચની જેમ સાચવવાં જોઇએ. તમને એ બંડલ પર ગમે તેટલી ચીઢ ચઢી હોય તો ય તેને નીચે ફેંકો ? તરત વાંચી લો કે ‘ગ્લાસ વિથ કેર’ ! આ ઘરમાં શું થાય છે કે કંઇક થયું તો તમે તરત જ છોકરીને કહેવા મંડી પડો, ‘કેમ આ પાકીટ ખોઇ નાખ્યું ? ક્યાં ગઇ હતી ? પાકીટ કેવી રીતે ખોવાઇ ગયું ?’ આ તમે હથોડા માર માર કરો છો. આ ‘ગ્લાસ વિથ કેર’ સમજે તો પછી સ્વરૂપજ્ઞાન ના આપ્યું હોય તો ય સમજી જાય. આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિઢાય. માટે એ આસક્તિ છે. છોકરા-છોકરી છે તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી તરીકે રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય. ઘરમાં જે બની જાય તેને કરેક્ટ કહેવું, ‘ઇન્કરેક્ટ’ કહેશો તો કશો ફાયદો નહીં થાય. ખોટું જોનારને બળાપો થશે. એકનો એક છોકરો મરી ગયો તો કરેક્ટ છે એમ કોઇને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે, બહુ ખોટું થઇ ગયું. દેખાડો કરવો (પા.૪૧)પડે. ડ્રામેટિક કરવું પડે. બાકી અંદરખાને ‘કરેક્ટ’ જ છે. એમ કરીને ચાલવું. પ્યાલો જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી પ્યાલો ! પછી પડી જાય ને ફૂટી જાય એટલે ‘કરેક્ટ’ છે એમ કહેવું. બેબીને કહેવું કે, સાચવીને ધીરે રહીને લેજે પણ મહીં ‘કરેક્ટ’ છે એમ કહેવું. ક્રોધની વાણી ના નીકળે એટલે સામાને ના વાગે. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ ના કહેવાય, મહીં ઘુમાય તે ય ક્રોધ છે. આ સહન કરવું, એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો સ્પ્રીંગ ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું ? આનો તો જ્ઞાનથી ઉકેલ લાવી નાખવાનો. ઉંદરડે મૂછો કાપી તે ‘જોવાનું’ અને ‘જાણવાનું’ તેમાં રડવાનું શાને માટે ? આ જગત જોવા-જાણવા માટે છે ! ઘર, એક બગીચો !એક ભાઇ મને કહે કે, ‘દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે.’ ત્યારે મે તેને કહ્યું કે, ‘બેનને પૂછો એ શું કહે છે ?’ એ કહે છે કે ‘મારો ધણી આવો નાગો છે. અક્કલ વગરનો છે.’ હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઇ કહે કે, ‘મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઇ છે.’ મે કહ્યું, ‘બગડી નથી ગયું કશું. તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ.’ તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઇ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઇ ખેતરમાં નર્યા ચંપા, કોઇમાં કેવડો, એમ હતું. અને આ કળિયુગમાં ખેતર રહ્યું નથી, બગીચા થઇ ગયા. એટલે એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી ! હવે તમે ઘરમાં વડીલ ગુલાબ હો ને ઘરમાં બધાંને ગુલાબ કરવા ફરો, બીજા ફૂલને કહો કે, મારા જેવું તું નથી, તું તો ધોળું છે. તારું ધોળું કેમ આવ્યું ? ગુલાબી ફૂલ લાવ. આમ સામાને માર માર કરો છો ! અલ્યા, ફૂલને જોતાં તો શીખો. તમારે તો એટલે સુધી કરવાનું કે, આ શું પ્રકૃતિ છે ! કઇ જાતનું ફૂલ છે ! ફળફૂલ આવે ત્યાં સુધી છોડને જો જો કરવાનું કે આ કેવો છોડ છે ? મને કાંટા છે આને કાંટા નથી. મારો ગુલાબનો છોડ છે, આનો ગુલાબનો નથી. પછી ફૂલ આવે ત્યારે આપણે જાણવું કે, ‘ઓહોહો ! આ તો મોગરો છે !’ એટલે એની (પા.૪૨)સાથે મોગરાના હિસાબે વર્તન રાખવું. ચમેલી હોય તો તેના હિસાબે વર્તન રાખવું. સામાની પ્રકૃતિના હિસાબે વર્તન રાખવું. પહેલાં તો ઘરમાં ડોસા હોય તે તેમના કહ્યા પ્રમાણે ઘરમાં છોકરાં ચાલે, વહુઓ ચાલે. જ્યારે કળિયુગમાં જુદી જુદી પ્રકૃતિ, તે કોઇને મેળ ખાય નહીં, માટે આ કાળમાં તો ઘરમાં બધાની પ્રકૃતિના સ્વભાવને એડજસ્ટ થઇને જ કામ લેવું જોઇએ. એ એડજસ્ટ નહીં થાય તો રીલેશન બગડી જશે. માટે બગીચાને સંભાળો અને ગાર્ડનર થાવ. વાઇફની જુદી પ્રકૃતિ હોય, છોકરાંની, છોકરીઓની જુદી જુદી પ્રકૃતિ હોય. તે દરેકની પ્રકૃતિનો લાભ ઉઠાવો. આ તો રિલેટિવ સંબંધ છે, વાઇફ પણ રિલેટિવ છે. અરે, આ દેહ જ રિલેટિવ છે ને ! રિલેટિવ એટલે એમની જોડે બગાડો તો એ છૂટાં થઇ જાય ! કોઇને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઇ ગઇ છે. માટે સુધારવાની આશા છોડી દો, કારણ કે મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે, મનમાં જેવું હોય તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડે કેવું વલણ રાખવું તેની ‘નોર્માલિટી’ લાવી નાખો. એમાં મૂર્છિત થવા જેવું જ શું ?!કેટલાંક તો છોકરાં ‘દાદા, દાદા’ કહે, એટલે દાદાજી મહીં મલકાય ! અલ્યા, છોકરાં ‘દાદા, દાદા’ ના કરે તો શું ‘મામા, મામા’ કરે ?! આ છોકરાં ‘દાદા, દાદા’ કરે, પણ મહીં સમજતાં હોય કે દાદા એટલે થોડા વખતમાં જે મરી જવાના છે તે, જે કેરીઓ હવે નકામી થઇ ગઇ, કાઢી નાખવાની થઇ એનું નામ દાદા ! અને દાદો મહીં મલકાય કે હું દાદો થયો ! આવું જગત છે ! અરે, પપ્પાને જ બાબો જઇને કાલી ભાષામાં કહે કે ‘પપ્પાજી, ચાલો મમ્મી ચા પીવા બોલાવે.’ તે બાપો મહીં એવો મલકાય, એવો મલકાય, જાણે સાંઢ મલકાયો ! એક તો બાળભાષા, કાલીભાષા, તેમાં ય પપ્પાજી કહે... એટલે ત્યાં તો મોટો પ્રધાન હોય તો ય તેમનો હિસાબ નહીં. આ તો મનમાં શું ય માની બેઠો છે કે મારા સિવાય કોઇ પપ્પો જ નથી. મેર ગાંડિયા ! આ કૂતરાં, ગધેડાં, બિલાડાં નર્યા પપ્પા જ છે (પા.૪૩)ને ? કોણ પપ્પા નથી ? આ બધો કકળાટ એનો એ જ છે ને ? સમજીને પપ્પા ના થાય એવું કંઇ ચરિત્ર કોઇનું ઉદયમાં આવે તો એનાં તો વધામણાં જ લેવાં પડે. બાકી બધા પપ્પા જ થાય છે ને ? બોસે ઑફિસમાં ટૈડકાવ્યો હોય ને ઘેર બાબો ‘પપ્પા, પપ્પા’ કરે. એટલે તે ઘડીએ બધું ભૂલી જાય ને આનંદ થાય. કારણ કે આ પણ એક પ્રકારની મદિરા જ કહેવાય છે, તે બધું ભૂલાવી દે છે ! એકુંય છોકરાં ના હોય ને છોકરો જન્મે તો તે હસાવડાવે, ભાઇને ખૂબ આનંદ કરાવડાવે. ત્યારે એ જાય ત્યારે રડાવડાવે ય એટલું જ. માટે આપણે એટલું જાણી લેવું કે આવ્યા છે તે જાય, ત્યારે શું શું થાય ? માટે આજથી હસવું જ નહીં. પછી ભાંજગડ જ નહીં ને ! આ તો ક્યા અવતારમાં બચ્ચાં ન્હોતાં ? કૂતરાં, બિલાડાં-બધે બચ્ચાં, બચ્ચાં ને બચ્ચાં જ કોટે વળગાડ્યાં છે. આ બિલાડીને ય બેબીઓ જ હોય છે ને ! વ્યવહાર નોર્માલિટીપૂર્વક ઘટે !માટે દરેકમાં નોર્માલિટી લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઇ રાખવી. કડકાઇથી સામાને બહુ નુકસાન નથી થતું, ક્રોધ કરવાથી બહુ નુકસાન થાય છે. કડકાઇ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઇએ એટલે ફૂંફાડો મારીએ, કેમ આમ કરો છો ? કેમ કામ નથી કરતાં ? વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો એ વ્યવહાર બગાડ્યો કહેવાય. એક માણસ મારી પાસે આવ્યો, તે બેન્કનો મેનેજર હતો. તે મને કહે કે, ‘મારા ઘરમાં મારી વાઇફને ને છોકરાંને હું એક અક્ષરે ય કહેતો નથી. હું બિલકુલ ઠંડો રહું છું.’ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.’ પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ દાદા મને મોટું ઇનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઇનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું’ એમ નાટકીય બોલવાનું, નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઇ કરીએ છીએ તે કરેક્ટ જ છે. કારણ કે બાપાએ એક્સેપ્ટ (પા.૪૪)કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડીને સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ? પ્રશ્નકર્તા : દાદા, મારો છોકરો પંદરસો રૂપિયા મહિને કમાય છે. હું રીટાયર્ડ છું, તેની સાથે રહું છું. હવે છોકરા અને વહુ મને ટોક્યા કરે છે કે તમે આમ કેમ કરો છો ? બહાર કેમ જાવ છો ? એટલે હું તેમને કહેવાનો છું કે હું ઘરમાંથી ચાલ્યો જઇશ. દાદાશ્રી : ખવડાવે-પીવડાવે છે સારી રીતે ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : ત્યાર પછી ચાલ્યો જઇશ એમ ના બોલાય. વખતે કહ્યા પછી જવાનું ના બને, આપણા બોલ આપણે જ ગળવા પડે. પ્રશ્નકર્તા : એટલે મારે એમને કશું જ કહેવાનું નહીં ? દાદાશ્રી : બહુ ત્યારે ધીમે રહીને કહીએ કે, આમ કરો તો સારું, પછી માનવું ના માનવું તમારી મરજીની વાત છે, તમારી ધોલ સામાને વાગે તેવી હોય અને તેનાથી સામાનામાં ફેરફાર થતો હોય તો જ ધોલ મારજો ને જો પોલી ધોલ મારશો, તો એ ઊલટો વિફરશે. તેના કરતાં ઉત્તમ તો ધોલ ના મારવી તે છે. ઘરમાં ચાર છોકરાં હોય તેમાં બેની કંઇ ભૂલ ના હોય તો ય બાપ એમને ટૈડકાય ટૈડકાય કરે અને બીજા બે ભૂલો કર્યા જ કરે તો પણ એને કંઇ ના કરે. આ બધું એની પાછળના ‘રુટકોઝ’ને લઇને છે. એ તો આશા જ ના રાખશો !પ્રશ્નકર્તા : છોકરાંને ચિરંજીવી કેમ કહેતા હશે ? દાદાશ્રી : ચિરંજીવી ના લખે તો બીજા શબ્દ પેસી જશે. આ છોકરો (પા.૪૫)મોટો થાય ને સુખી થાય, આપણી નનામી નીકળતાં પહેલાં એને સુખી જોઇએ, એવી ભાવના ખરી ને ? છતાં મહીં મનમાં એવી આશા ખરી કે આ ઘૈડપણમાં સેવા કરે. આ આંબા શા માટે ઉછેરે છે ? કેરીઓ ખાવા. પણ આજના છોકરાં, એ આંબા કેવા છે ? એને બે જ કેરીઓ આવશે ને બાપા પાસેથી બીજી બે કેરીઓ માંગશે. માટે આશા ના રાખશો. એક ભાઇ કહે કે, મારો દીકરો કહે છે કે ‘તમને મહિને સો રૂપિયા મોકલું ?’ ત્યારે એ ભાઇ કહે કે, ‘મેં તો તેને કહી દીધું કે ભઇ, મારે તારા બાસમતીની જરૂર નથી, મારે ત્યાં બાજરી પાકે છે. તેનાથી પેટ ભરાય છે. આ નવો વેપાર ક્યાં શરૂ કરવો ? જે છે તેમાં સંતોષ છે.’ ‘મિત્રાચારી’ એ ય ‘એડજસ્ટમેન્ટ’ !પ્રશ્નકર્તા : છોકરાંને મહેમાન ગણવાં ? દાદાશ્રી : મહેમાન ગણવાની જરૂર નથી. આ છોકરાંને સુધારવા માટે એક રસ્તો છે, એમની જોડે મિત્રાચારી કરો, અમે તો નાનપણથી જ આ રસ્તો લીધેલો. તે આવડા નાના છોકરો જોડે પણ મિત્રાચારી ને પંચાશી વર્ષના ઘૈડિયા જોડે પણ મિત્રાચારી ! છોકરાં જોડે મિત્રાચારીનું સેવન કરવું જોઇએ. છોકરાં પ્રેમ ખોળે છે, પણ પ્રેમ તેમને મળતો નથી. એટલે પછી એમની મુશ્કેલી એ જ જાણે, કહેવાય નહીં ને સહેવાય નહીં. આજના જુવાનિયાંઓ માટેનો રસ્તો અમારી પાસે છે. આ વહાણનું સુકાન કઇ રીતે લેવું તે અમને મહીંથી જ રસ્તો મળે છે. મારી પાસે પ્રેમ એવો ઉત્પન્ન થયો છે કે જે વધે નહીં ને ઘટે પણ નહીં. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધઘટ ના થાય તે પરમાત્મ-પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઇ જાય.મારે કોઇને વશ કરવા નથી, છતાં પ્રેમને સહુ કોઇ વશ રહ્યા કરે છે અમે તો નિમિત્ત છીએ. ખરો ધર્મોદય જ હવે !પ્રશ્નકર્તા : આ નવી પ્રજામાંથી ધર્મનો લોપ શા માટે થતો જાય છે ? દાદાશ્રી : ધર્મનો લોપ તો થઇ જ ગયો છે, લોપ થવાનો બાકી (પા.૪૬)જ રહ્યો નથી. હવે તો ધર્મનો ઉદય થાય છે. લોપ થઇ રહે ત્યારે ઉદયની શરૂઆત થાય. જેમ આ દરિયામાં ઓટ પૂરી થાય એટલે અડધા કલાકમાં ભરતીની શરૂઆત થાય. તેવું આ જગત ચાલ્યા કરે છે. ભરતી-ઓટના નિયમ પ્રમાણે. ધર્મ વગર તો માણસ જીવી જ શકે નહીં. ધર્મ સિવાય બીજો આધાર જ શો છે, માણસને ? આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે ‘આપણામાં કેટલી ભૂલ છે !’ બાપ રાત્રે ઊંઘે નહીં ને છોકરો નિરાંતે ઊંઘે છે, એમાં બાપની ભૂલ. મેં બાપને કહ્યુ કે, ‘આમાં તારી જ ભૂલ છે.’ તેં જ ગયા અવતારમાં છોકરાંને ચંપે ચઢાવેલો, ફટવેલો ને, તે ય તારી કંઇક લાલચ ખાતર. આ તો સમજવા જેવું છે. આ ‘અન્સર્ટિફાઇડ ફાધર’ ને ‘અન્સર્ટિફાઇડ મધર’ને પેટે છોકરાં જન્મ્યાં છે, તેમાં એ શું કરે ? વીસ-પચીસ વર્ષના થાય એટલે બાપ થઇ જાય. હજી એનો જ બાપ એના માટે બૂમો પાડતો હોય ! આ તો રામ આશરે ફાધર થઇ જાય છે. આમાં છોકરાનો શો વાંક? આ છોકરા અમારી પાસે બધી ભૂલો કબૂલ કરે, ચોરી કરે તો તે ય કબૂલ કરી લે છે. આલોચના તો ગજબનો પુરુષ હોય ત્યાં જ થાય. હિન્દુસ્તાનનો કંઇ અજાયબ સ્ટેજમાં ફેરફાર થઇ જશે ! સંસ્કાર પમાડવા, તેવું ચારિત્ર ખપે !પ્રશ્નકર્તા : દાદા, ઘરસંસાર બધો શાંતિથી રહે ને અંતરાત્માનું સચવાય એવું કરી આપો. દાદાશ્રી : ઘરસંસાર શાંતિમાં રહે એટલું જ નહીં, પણ છોકરાં પણ આપણું જોઇને વધારે સંસ્કારી થાય એવું છે. આ તો બધું માબાપનું ગાંડપણ જોઇને છોકરાં પણ ગાંડા થઇ ગયાં છે. કારણ કે માબાપના આચાર, વિચાર પદ્ધતિસર નથી. ધણી-ધણિયાણી ય છોકરાં બેઠાં હોય ત્યારે ચેનચાળા કરે એટલે છોકરાં બગડે નહીં તો શું થાય ? છોકરાંને કેવા સંસ્કાર પડે ? મર્યાદા તો રાખવી જોઇએ ને ? આ દેવતાનો કેવો ઑ પડે છે ? નાનું છોકરું ય દેવતાનો ઑ રાખે છે ને ? માબાપનાં મન ફ્રેકચર થઇ ગયાં છે. મન વિહ્વળ થઇ ગયાં છે, વાણી ગમે તેવી બોલે છે. (પા.૪૭)સામાને દુઃખદાયી થઇ પડે તેવી વાણી બોલે છે, એટલે છોકરાંઓ ખરાબ થઇ જાય. આપણે એવું બોલીએ કે ધણીને દુઃખ થાય ને ધણી એવું બોલે કે આપણને દુઃખ થાય. આ તો બધું ‘પઝલ’ ઊભું થઇ ગયું છે. હિન્દુસ્તાનમાં આવું ના હોય. પણ આ કળિયુગનું નિમિત્ત છે. એટલે આવું જ હોય. તેમાં ય આ એક અજાયબ વિજ્ઞાન નીકળ્યું છે. તે જેને ભેગું થશે તેનું કામ નીકળી જશે. ... માટે સદ્ભાવનામાં વાળો !પ્રશ્નકર્તા : છોકરાં વાંકા ચાલે તો શું કરવું ? દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આવા પર કૃપા કરો. આપણે તો જે બન્યું તે કરેક્ટ કહેવું. જે ભોગવે તેની ભૂલ છે. બન્યું તે કરેક્ટ કહીને ચાલો તો ઉકેલ આવશે. ભગવાને કહ્યું, ‘તું સુધર તો તારી હાજરીથી બધું સુધરશે !’ નાનાં છોકરાં-છોકરીઓને સમજાવવું કે સવારે નાહીધોઇને સૂર્યપૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે, મને તથા જગતને સદ્બુધ્ધિ આપો, જગતનું કલ્યાણ કરો. આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય, અને માબાપનું કર્મબંધન છૂટ્યું. આ તો બધું ફરજીયાત છે. મા-બાપ પાંચ હજારનું દેવું કરીને છોકરો ભણાવ્યો હોય તેમ છતાં કોઇ દિવસ છોકરો ઉદ્ધતાઇ કરે તો, બોલી ના બતાવાય કે અમે તને ભણાવ્યો. એ તો આપણે ‘ડ્યુટી બાઉન્ડ’ હતા, ફરજિયાત હતું. ફરજિયાત હતું તે કર્યું. આપણે આપણી ફરજ બજાવવી. (પા.૪૮)[5] સમજથી દીપે ગૃહસંસાર !મતભેદમાં સમાધાન કઈ રીતે ?કાળ વિચિત્ર આવી રહ્યો છે. આંધીઓ ઉપર આંધીઓ થવાની છે ! માટે ચેતતા રહેજો. આ જેમ પવનની આંધીઓ આવે છે ને તેવી કુદરતની આંધી આવી રહી છે. મનુષ્યોને માથે મહામુશ્કેલીઓ છે. સક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોકો બફાઇ રહ્યા છે ! શેના આધારે જીવી રહ્યા છે, તેની પોતાને સમજણ નથી. પોતાની જાતની શ્રદ્ધા પણ જતી રહી છે ! હવે શું થાય ? ઘરમાં વાઇફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરાં જોડે મતભેદ ઊભો થયો તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગુંચાયા કરે. પ્રશ્નકર્તા : ધણી તો એમ જ કહે ને, કે ‘વાઇફ’ સમાધાન કરે, હું નહીં કરું ! દાદાશ્રી : હં..., એટલે ‘લિમિટ’ પૂરી થઇ ગઇ. ‘વાઇફ’ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઇ ગઇ પૂરી. ખરો પુરુષ હોય ને તે તો એવું બોલે કે ‘વાઇફ’ રાજી થઇ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે. અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે. માટે સમાધાન કરવું. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ? દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો (પા.૪૯)સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું, પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે? તમે તમારું જ હિત જોઇ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઇએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઇએ. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ? દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે’ એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ’ કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, માબાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે ‘આપણે સમભાવે નિકાલ કરવો છે’ એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે, આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. અને બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે ‘સમભાવે નિકાલ’ કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો ‘સમભાવે નિકાલ’ કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઇ જ જશે. ને આજે માંગનારને ના અપાયું તો કાલે અપાશે, હોળી પર અપાશે, નહીં તો દિવાળી પર અપાશે. પણ માંગનારો લઇ જ જશે. આ જગત ચૂકતે કર્યા પછી નનામીમાં જાય છે. આ ભવના તો ચૂકતે કરી નાખે છે જ ગમે તે રસ્તે, પછી નવાં બાંધ્યાં તે જુદાં. હવે (પા.૫૦)આપણે નવા બાંધીએ નહીં ને જૂનાં આ ભવમાં ચૂકતે થઇ જ જવાનાં. બધો હિસાબ ચૂકતે થયો એટલે ભઇ ચાલ્યા નનામી લઇને ! જ્યાં કંઇ પણ ચોપડામાં બાકી રહ્યું હોય ત્યાં થોડા દહાડા વધારે રહેવું પડે. આ ભવનું આ દેહના આધારે બધું ચૂકતે જ થઇ જાય. પછી અહીં જેટલી ગૂંચો પાડી હોય તે જોડે લઇ જાય ને ફરી પાછો નવો હિસાબ શરૂ થાય. ... માટે અથડામણ ટાળો !માટે જ્યાં હો ત્યાંથી અથડામણને ટાળો. આ અથડામણો કરી આ લોકનું તો બગાડે છે, પણ પરલોક હઉ બગાડે છે ! જે આ લોકનું બગાડે તો પરલોકનું બગાડ્યા વગર રહે નહીં ! આ લોક સુધરે તેનો પરલોક સુધરે. આ ભવમાં આપણને કોઇ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પરભવે પણ અડચણ છે જ નહીં અને અહીં અડચણ ઊભી કરી તો તે બધી ત્યાં જ આવવાની છે. પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય ? દાદાશ્રી : માથું ફૂટી જાય ! એક માણસ મને સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો. તેને મે કહ્યું કે, ‘અથડામણ ટાળજે.’ મને પૂછયું કે, ‘અથડામણ એટલે શું ?’ ત્યારે મેં કહ્યું કે ‘આપણે સીધા ચાલતા હોઇએ ને વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું ?’ ત્યારે એ કહે, ‘ના. અથડાઇએ તો માથું તૂટી જાય.’ આ પથરો આમ વચ્ચે પડેલો હોય તો આપણે શું કરવું જોઇએ ? ફરીને જવું જોઇએ. આ ભેંસના ભાઇ રસ્તામાં વચ્ચે આવે તો શું કરો ? ભેંસના ભાઇને ઓળખો ને તમે ? એ આવતો હોય તો ફરીને જવું પડે, નહીં તો માથું મારે તો તોડી નાખે બધું. તેવું માણસો ય કોઇક એવા આવતા હોય તો ફરીને જવું પડે. તેવું અથડામણનું છે. કોઇ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતા હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં છતાં કંઇક અસર ઓચિંતી થઇ, ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી; એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો, (પા.૫૧)અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે ! આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. એક ભાઇને એકાવનની સાલમાં આ એક શબ્દ આપ્યો હતો. ‘અથડામણ ટાળ’ કહ્યું હતુ અને આવી રીતે તેને સમજણ પાડી હતી. હું શાસ્ત્ર વાંચતો હતો ત્યારે એ મને આવીને કહે કે, ‘દાદા, મને કશુંક આપો.’ એ મારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે મેં એને કહ્યું, ‘તને શું આપે ? તું આખી દુનિયા જોડે લઢીને આવે છે, મારામારી કરીને આવે છે.’ રેલવેમાં ય ઠોકાઠોક કરે, આમ પૈસાનાં પાણી કરે ને રેલવેને જે કાયદેસર ભરવાના છે તે ના ભરે અને ઉપરથી ઝઘડા કરે, આ બધું હું જાણું. તે મેં એને કહ્યું કે, ‘તું અથડામણ ટાળ. બીજું કશું તારે શીખવાની જરૂર નથી.’ તે આજ સુધી હજી યે પાળે છે. અત્યારે તમે એની સાથે અથડામણ કરવાની નવી નવી રીતો ખોળી કાઢો, જાતજાતની ગાળો ભાંડો તો એ આમ ખસી જશે. માટે અથડામણ ટાળો, અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં.તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે, આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઇને લઇને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું ! સહન ? નહીં, સોલ્યુશન લાવો !પ્રશ્નકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને ? દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને ‘સ્પ્રીંગ’ દબાવવી એ બે સરખું છે. ‘સ્પ્રીંગ’ દબાવેલી કેટલા દહાડા રહેશે ! માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. (પા.૫૨)અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો ‘સ્પ્રીંગ’ ઊછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે. એવો જગતનો કાયદો જ નથી કે કોઇને લીધે આપણે સહન કરવું પડે. જે કંઇ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ ક્યા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઇ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો ‘શુદ્ધાત્મા’ છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ ‘પઝલ’ ‘સોલ્વ’ કરી આપે. પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને ? દાદાશ્રી : એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બન્નેને ‘વાયર’ ક્યાં લાગુ થયો છે? આ પ્રકૃતિ ને તે પ્રકૃતિ, બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો આપે કંઇક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે ને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઇ ગયો. આ ‘સોલ્યુશન’ હોય ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને ? સહન કરવાથી શું થશે ? આવો ફોડ નહીં પાડો, તો એક દહાડો એ ‘સ્પ્રીંગ’ કૂદશે. કૂદેલી સ્પ્રીંગ તમે જોયેલી ? મારી ‘સ્પ્રીંગ’ બહુ કુદતી હતી. ઘણા દહાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાનદશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઇ લેવું, કોઇ વસ્તુ ચોપડા બહારની હોતી નથી. (પા.૫૩)હિસાબ ચૂકતે કે ‘કોઝિઝ’ પડ્યાં ?પ્રશ્નકર્તા : નવી લેવડ-દેવડ ના થાય એ કેવી રીતે બને ? દાદાશ્રી : નવી લેવડ-દેવડ કોને કહેવાય ? ‘કોઝિઝ’ને નવી લેવડદેવડ કહેવાય, આ તો ‘ઇફેક્ટ’ જ છે ખાલી ! આ જે જે બને છે એ બધું ‘ઇફેક્ટ’ જ છે, અને ‘કોઝિઝ’ અદર્શનીય છે. ઇન્દ્રિયથી ‘કોઝિઝ’ દેખાય નહીં, જે દેખાય છે એ બધી ઇફેક્ટ છે. એટલે આપણે જાણવાનું કે હિસાબ ચૂકતે થયો. નવું જે થાય છે તે તો મહીં થઇ રહ્યું છે, તે અત્યારે ના દેખાય, એ તો જ્યારે પરિણામ પામે ત્યારે. હજુ એ તો મેળમાં લખેલું નથી, નોંધવહીમાંથી હજુ તો એ ચોપડામાં આવશે. પ્રશ્નકર્તા : આગળના પાકા ચોપડાનું અત્યારે આવે છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ અથડામણ થાય છે તે ‘વ્યવસ્થિત’ના આધારે જ હશે ને ? દાદાશ્રી : હા. અથડામણ છે તે ‘વ્યવસ્થિત’ના આધારે ખરી પણ એવું ક્યારે કહેવાય ? અથડામણ થઇ ગયા પછી. ‘આપણે અથડામણ નથી કરવી’ એવો આપણો નિશ્ચય હોય. સામે થાંભલો દેખાય એટલે આપણે જાણીએ કે થાંભલો આવે છે, ફરીને જવું પડશે, અથડાવું તો નથી. પણ એમ છતાં અથડામણ થઇ જાય ત્યારે આપણે કહેવું, વ્યવસ્થિત છે. પહેલેથી જ ‘વ્યવસ્થિત છે’ માનીને હેંડીએ તો તો ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ થયો કહેવાય. ‘ન્યાય સ્વરૂપ’, ત્યાં ઉપાય તપ !!પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની ‘સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો ‘સમભાવે નિકાલ’ કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં (પા.૫૪)જ રહેવું, અને આપણે આપણી મેળે આપણું ‘પઝલ’ ‘સોલ્વ’ કર્યા કરવું. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ? દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તેય પેલો ‘ડ્રામેટિક’ અહંકાર. જેટલો એક્સેસ અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવાં દેતાં નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, હવે છૂટકારો કર. તમને કોઇએ અન્યાય કર્યો ને તમને એમ થાય કે મને આ અન્યાય કેમ કર્યો તો તમને કર્મ બંધાય. કારણ કે તમારી ભૂલને લઇને સામાને અન્યાય કરવો પડે છે. હવે અહીં ક્યાં મતિ પહોંચે ? જગત તો કકળાટ કરી મેલે ! ભગવાનની ભાષામાં કોઇ ન્યાયે ય કરતું નથી ને અન્યાયે ય કરતું નથી, ‘કરેક્ટ’ કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે ? ઘરમાં મતભેદ ઓછા થાય, ભાંજગડ ઓછી થાય, આજુ-બાજુનાનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી. નહીં તો વાતની સમજ પડી નથી. જ્ઞાન કહે છે કે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે ! માટે એનો ઉપાય છે તપ ! કો’કે તમને અન્યાય કર્યો હોય તો તે ભગવાનની ભાષામાં ‘કરેક્ટ’ છે; જે સંસારની ભાષામાં ખોટું કર્યું એમ કહેશે. આ જગત ન્યાયસ્વરૂપ છે, ગપ્પું નથી. એક મચ્છર પણ એમને એમ તમને અડે તેમ નથી. મચ્છર અડ્યો માટે તમારું કંઇક કારણ છે. બાકી એમ ને એમ એક સ્પંદન પણ તમને અડે તેવું નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. કોઇની આડખીલી તમને નથી. પ્રશ્નકર્તા : અથડામણમાં મૌન હિતકારી ખરું કે નહીં ? દાદાશ્રી : મૌન તો બહુ હિતકારી કહેવાય. પ્રશ્નકર્તા : પણ દાદા, બહાર મૌન હોય, પણ અંદર તો બહુ (પા.૫૫)ઘમસાણ ચાલતું હોય તેનું શું થાય ? દાદાશ્રી : એ કામનું નહીં. મૌન તો પહેલામાં પહેલું મનનું જોઇએ. ઉત્તમ તો, ‘એડજસ્ટ એવરીવ્હેર’ !પ્રશ્નકર્તા : જીવનમાં સ્વભાવ નથી મળતા તેથી અથડામણ થાય છેને ? દાદાશ્રી : અથડામણ થાય તેનું જ નામ સંસાર છે ! પ્રશ્નકર્તા : અથડામણ થવાનું કારણ શું ? દાદાશ્રી : અજ્ઞાનતા. પ્રશ્નકર્તા : એકલું શેઠ જોડે જ અથડામણ થાય એવું નથી, બધાં જોડે થાય છે, તેનું શું ? દાદાશ્રી : હા, બધા જોડે ય થાય. અરે, આ ભીંત જોડે ય થાય. પ્રશ્નકર્તા : એનો રસ્તો શું હશે ? દાદાશ્રી : અમે બતાવીએ છીએ પછી ભીંત જોડે પણ અથડામણ ના થાય. આ ભીંત જોડે અથડાય તેમાં કોનો દોષ ? જેને વાગ્યું તેનો દોષ. એમાં ભીંતને શું ! ચીકણી માટી આવે ને તમે લપસ્યા એમાં ભૂલ તમારી છે. ચીકણી માટી તો નિમિત્ત છે. તમારે નિમિત્તને સમજીને મહીં આંગળા ખોસી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, ને લપસાવવું એ તો એનો સ્વભાવ જ છે. પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભા થવાનું કારણ શું ? સ્વભાવ ના મળે તેથી ? દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઇ-કોઇના સ્વભાવ મળે જ નહીં. આ ‘જ્ઞાન’ મળે તેનો એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! કોઇ તને મારે તો ય તારે તેને ‘એડજસ્ટ’ થઈ જવાનું. પ્રશ્નકર્તા : વાઇફ જોડે ઘણીવાર અથડામણ થઇ જાય છે. મને કંટાળો ય આવે છે. (પા.૫૬)દાદાશ્રી : કંટાળો આવે એટલું જ નહીં, પણ કેટલાંક તો દરિયામાં પડતું નાખે, બ્રાંડી પીને આવે. મોટામાં મોટું દુઃખ શેનું છે ? ‘ડિસએડજસ્ટમેન્ટ’નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’નું કરે તો શું વાંધો છે. પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઇએ. દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદા’ એ કહ્યું છે કે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે, ‘તમે ચોર છો.’ તો કહેવું કે, ‘યુ આર કરેક્ટ.’ અને થોડીવાર પછી એ કહે કે, ‘ના, તમે ચોરી નથી કરી.’ તો ય ‘યુ આર કરેક્ટ.’ કહીએ. એવું છે બ્રહ્યાનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી ! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઇએ ? ‘દાવો માંડ’ કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ’ થઇએ કે દાવો માંડો કહીએ ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ’ થઇને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે ? બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ આવે ખરી ? અને સવારે નાસ્તો ય સારો ના મળે. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ ! વ્યવહારમાં કેમ કરીને રહેવું તે ય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તે ય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ઘરમાં ચલણ છોડવું તો પડે ને ?ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું, જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમે ય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું (પા.૫૭)કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે ‘સમભાવે નિકાલ’ કરવાનો. ઘરમાં ‘વાઇફ’ જોડે ‘ફ્રેન્ડ’ તરીકે રહેવાનું . એ તમારા ‘ફ્રેન્ડ’ ને તમે એમના ‘ફ્રેન્ડ’ ! અને અહીં કોઇ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલીટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાં ય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હું ય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપો ય નોંધ કરતું નથી ! આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય ને તે વખતે કોઇ આવે ને આ જોઇને કહે કે, ‘ઓહોહો ! તમારુ તો ઘરમાં ચલણ બહુ સરસ છે.’ ત્યારે આપણે કહીએ કે, ‘ના, ચલણ એનું જ ચાલે છે.’ અને જો તમે એમ કહ્યું કે ‘હા, અમારું જ ચલણ છે તો પેલી પગ દબાવવાનો છોડી દેશે. એના કરતાં આપણે કહીએ, ના, એનું જ ચલણ છે.’ પ્રશ્નકર્તા : એને માખણ લગાવ્યું ના કહેવાય ? દાદાશ્રી : ના, એને સ્ટ્રેઇટ વે કહેવાય; અને પેલા વાંકાચૂંકા રસ્તા કહેવાય. આ દુષમકાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ ? સવારમાં નાસ્તો બગડે, બપોરે નાસ્તો બગડે, આખો દહાડો બગડે !! ‘રીએકશનરી’ પ્રયત્નો ન જ કરાય !પ્રશ્નકર્તા : બપોરે પાછું સવારની અથડામણ ભૂલીયે જઇએ ને સાંજે પાછું નવું થાય. દાદાશ્રી : એ અમે જાણીએ છીએ, અથડામણ કઇ શક્તિથી થાય છે. એ અવળું બોલે છે તેમાં કઇ શક્તિ કામ કરી રહી છે. બોલીને પાછા ‘એડજસ્ટ’ થઇએ છીએ, એ બધું જ્ઞાનથી સમજાય તેમ છે છતાં એડજસ્ટ થવાનું જગતમાં. કારણ કે દરેક વસ્તુ ‘એન્ડવાળી’ હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તો ય તમે તેને ‘હેલ્પ’ નથી કરતા, વધારે (પા.૫૮)નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે ! એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય તે સામાને શી રીતે સુધારી શકે ? પ્રશ્નકર્તા : આપણે સુધરેલા હોય તો સુધારી શકીએ ને ? દાદાશ્રી : હા, સુધારી શકીએ. પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ? દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે ! ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે ! સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ, પણ જે પ્રયત્નો ‘રીએકશનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, ‘આપણને આ શોભે નહીં.’ બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય. ... નહીં તો પ્રાર્થનાનું ‘એડજસ્ટમેન્ટ’ !પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે ના સમજે એ એનો પુરુષાર્થ ? દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે, ‘દાદા ભગવાન ! આને સદ્બુદ્ધિ આપજો.’ આટલું કહેવું પડે. કંઇ એને અદ્ધર ના લટકાવાય, ગપ્પું નથી. આ ‘દાદા’નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ. અને જ્યાં ‘એડજસ્ટ’ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ રહેશે ને તમને ? (પા.૫૯)આ ‘ડિસએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઇ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહિ, અને મારું જ ચલણ રહેવું જોઇએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો ‘પોઇઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દોને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે !! માટે બીબી કહે છે કે, ‘તમે નાલાયક છો.’ તો કહેવું ‘બહુ સારું.’ પ્રશ્નકર્તા : આપણને બીબી નાલાયક કહે, એ તો સળી કરી હોય એવું લાગે. દાદાશ્રી : તો પછી આપણે શો ઉપાય કરવો ? તું બે વખત નાલાયક છે એવું એને કહેવું ? અને તેથી કંઇ આપણું નાલાયકપણું ભૂંસાઇ ગયું ? આપણને સિક્કો વાગ્યો એટલે પાછા આપણે શું બે સિક્કા મારવા ? અને પછી નાસ્તો બગડે, આખો દહાડો બગડે. પ્રશ્નકર્તા : ‘એડજસ્ટમેન્ટ’ની વાત છે. એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં આવવું ? દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. ‘જ્ઞાની’ પાસે ‘એડજસ્ટમેન્ટ’ શીખીએ !એક ભાઇ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતા હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા ? શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઇ કહેવા ગયા તો એ મોટાભાઇને કહે કે, ‘તમને માર્યા વગર છોડીશ નહીં.’ પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, ‘આનું શું કરવું ? આ તો આવું બોલે છે.’ ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, કોઇએ તેને અક્ષરે ય કહેવાનું નહીં.તમે બોલશો તો એ વધારે ફ્રંટ થઇ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઇટે ય નહીં બોલવાનું ને રોંગે ય નહીં બોલવાનું, રાગેય નહીં રાખવાનો ને દ્વેષે ય નહીં રાખવાનો, સમતા રાખવાની, કરુણા રાખવાની. તે ત્રણ- (પા.૬૦)ચાર વર્ષ પછી એ ભાઇ સરસ થઇ ગયો ! આજે એ ભાઇ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત ના કામનું નથી, પણ કામ લેતા આવડવું જોઇએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદા જુદા કામ લઇને બેઠા છે, માટે ના ગમતું રાખશો નહીં. આશ્રિતને કચડવું, ઘોર અન્યાય !પ્રશ્નકર્તા : મારી પત્ની સાથે મારે બિલકુલ બને નહીં. ગમે તેટલી નિર્દોષ વાત કરું, મારું સાચું હોય તો પણ એ ઊંધું લે. બાહ્યનું જીવનસંઘર્ષ તો ચાલે છે, પણ આ વ્યક્તિસંઘર્ષ શું હશે ? દાદાશ્રી : એવું છે, માણસ પોતાના હાથ નીચેવાળા માણસને એટલો બધો કચડે છે, એટલો બધો કચડે છે કે કશું બાકી જ નથી રાખતો. પોતાના હાથ નીચે કોઇ માણસ આવ્યું હોય, પછી એ સ્ત્રી રૂપે કે પુરુષરૂપે હોય, પોતાની સત્તામાં આવ્યા તેને કચડવામાં બાકી નથી રાખતા. ઘરના માણસ જોડે કકળાટ ક્યારે ય ના કરવો જોઇએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઇને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને, ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણી ય બરોબર બનાવીને આપે, નહીં તો ચા પણ બગાડીને આપે. નબળો ધણી બૈરી પર શૂરો. જે આપણા રક્ષણમાં હોય તેનું ભક્ષણ ક્યાંથી કરાય ! જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઇએ. એનો ગુનો થયો હોય તો ય એનું રક્ષણ કરવું જોઇએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છે ને ! આ તો બહારના જોડે મિયાઉં થઇ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. પોતાની સત્તા નીચે હોય તેને કચડકચડ કરે ને ઉપરીને સાહેબ, સાહેબ કરે. હમણાં આ પોલીસવાળો ટૈડકાવે તો ‘સાહેબ, સાહેબ’ કહે અને ઘેર ‘વાઇફ’ સાચી વાત કહેતી હોય તો એને સહન ના થાય ને તેને ટૈડકાવે. ‘મારા ચાના કપમાં કીડી ક્યાંથી આવી ?’ એમ કરીને ઘરનાંને ફફડાવે. તેના કરતાં શાંતિથી કીડી કાઢી લેને. ઘરનાં ને ફફડાવે ને પોલીસવાળા આગળ ધ્રૂજે ! હવે આ ઘોર (પા.૬૧)અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે ક્લેશ ? આ તો ક્લેશ થતો હોય ત્યાં કોઇ રસ્તો કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો ક્લેશ શાને ? ‘સાયન્સ’ સમજવા જેવું !પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને? દાદાશ્રી : આ ભીંત જોડે લઢે, તો કેટલો વખત લઢી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઇ એટલે આપણે ભીંતને મારમાર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવી છે, આવું સમજવાનું. પછી કોઇ મુશ્કેલી નથી. પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે, ને એ વધારે ક્લેશ કરે. દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠયો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તે ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઇ ? મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઇ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી સામાને અસર થાય છે એવું પણ કશું હોતું નથી. ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા છે. કોઇની આટલી ય સત્તા નથી. આટલી ય સત્તા વગરનું જગત, એમાં કોઇ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં! માટે તમે ભીંત જેવા થઈ જાઓ ને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો ! તો તેની મહીં ભગવાન બેઠેલા તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને (પા.૬૨)તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઇ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને ‘હેલ્પ’ કરે. જે ભોગવે તેની જ ભૂલ !પ્રશ્નકર્તા : કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતા નથી. દાદાશ્રી : એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ ના મલ્યો આપણને ! આમનો સંયોગ આપણને જ કેમ બાઝયો ? જે જે વખતે આપણને કંઇ પણ ભોગવવું પડે છે તે ભોગવવાનું આપણી જ ભૂલનું પરિણામ છે. પ્રશ્નકર્તા : તો આપણે એમ સમજવાનું કે મારાં કર્મો એવા છે ? દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઇ નથી કે જે આપણને સહેજ પણ કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે તો તે આપણી જ ભૂલ છે. તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે ભોગવે તેની ભૂલ. કોઇ સ્ત્રી ને પુરુષ બે જણ ખૂબ ઝઘડતા હોય અને પછી આપણે બેઉ સૂઇ ગયા પછી છાનામાના જોવા જઇએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઇ આમ આમ પાસાં ફેરવતા હોય તો આપણે સમજવું કે આ ભઇની જ ભૂલ છે બધી, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે. અને તે ઘડીએ જો ભઇ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતાં હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. ‘ભોગવે તેની ભૂલ.’ આ વિજ્ઞાન બહુ ભારે ‘સાયન્સ’ છે. હું કહું છું તે બહુ ઝીણું સાયન્સ છે. જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે. મિયાં - બીબી !બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમની અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તો ય (પા.૬૩)સારું. પણ ત્યાં ય ‘વાઇફ’ જોડે લઠ્ઠબાજી ઉડાડે ! અલ્યા, આ ન હોય તારું પાકિસ્તાન ! બૈરી અને ધણી બેઉ પાડોશી જોડે લડતાં હોય ત્યારે બેઉ એકામત ને એકાજત હોય. પાડોશીને કહે કે તમે આવા ને તમે તેવા. આપણે જાણીએ કે આ મિયાં-બીબીની ટોળી અભેદ ટોળી છે, નમસ્કાર કરવા જેવી લાગે છે. પછી ઘરમાં જઇએ તો બહેનથી જરા ચામાં ખાંડ ઓછી પડી હોય એટલે પેલો કહેશે કે, હું તને રોજ કહું છું કે ચામાં ખાંડ વધારે નાખ, પણ તારું મગજ ઠેકાણે નથી રહેતું. આ મગજના ઠેકાણાવાળો ચક્કર ! તારા જ મગજનું ઠેકાણું નથી ને ! અલ્યા, કઇ જાતનો છે તું ? રોજ જેની જોડે સોદાબાજી કરવાની હોય ત્યાં કકળાટ કરવાનો હોય ? તમારે કોઇની જોડે મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : હા, પડે ઘણીવાર. દાદાશ્રી : ‘વાઇફ’ જોડે મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : હા, ઘણી વાર પડે. દાદાશ્રી : ‘વાઇફ’ જોડે પણ મતભેદ થાય ? ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઇએ. એવી એકતા કરી છે તમે ? પ્રશ્નકર્તા : આવું કોઇ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું. દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! મતભેદ ગમે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય, ડાઇવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! (પા.૬૪)કકળાટ કરો, પણ બગીચામાં (!)ક્લેશ તમારે કરવો હોય તો બહાર જઇને કરી આવવો. ઘરમાં જો કકળાટ કરવો હોય તો તે દહાડે બગીચામાં જઇને ખૂબ લડીને ઘેર આવવું. પણ ઘરમાં ‘આપણી રૂમમાં લડવું નહીં.’ એવો કાયદો કરવો. કો’ક દહાડો આપણને લડવાનો શોખ થઇ જાય તો બીબીને આપણે કહીએ કે, ચાલો આજે બગીચામાં ખૂબ નાસ્તા-પાણી કરીને ખૂબ વઢવાડ ત્યાં કરીએ. લોકો વચ્ચે પડે એવી વઢવાડ કરવી. પણ ઘરમાં વઢવાડ ના હોય. જ્યાં ક્લેશ થાય ત્યાં ભગવાન ના રહે. ભગવાન જતા રહે. ભગવાને શું કહ્યું ? ભક્તને ત્યાં ક્લેશ ના હોય પરોક્ષ ભક્તિ કરનારને ભક્ત કહ્યા ને પ્રત્યક્ષ ભક્તિ કરનારને ભગવાને ‘જ્ઞાની’ કહ્યા, ત્યાં તો ક્લેશ હોય જ ક્યાંથી ? પણ સમાધિ હોય ! એટલે કોઇ દહાડો લઢવાની ભાવના થાય ત્યારે આપણે પતિરાજને કહેવું કે, ‘ચાલો આપણે બગીચામાં.’ છોકરા કો’કને સોંપી દેવાં. પછી પતિરાજને પહેલેથી કહી દેવું કે, હું તમને પબ્લિકમાં બે ધોલ મારું તો તમે હસજો. લોકો ભલે ને જુએ, આપણી ગમ્મત ! લોકો આબરૂ નોંધવાવાળા, તે જાણે કે કોઇ દહાડો આમની આબરૂ ના ગઇ તે આજે ગઇ. આબરૂ તો કોઇની હોતી હશે ? આ તો ઢાંકી ઢાંકીને આબરૂ રાખે છે બિચારા ! ... આ તે કેવો મોહ ?!આબરૂ તો તેને કહેવાય કે નાગો ફરે તો ય રૂપાળો તે દેખાય ! આ તો કપડાં પહેરે તો ય રૂપાળા નથી દેખાતા. જાકીટ, કોટ, નેકટાઇ પહેરે તો ય બળદિયા જેવો લાગે છે ! શું ય માની બેઠા છે પોતાના મનમાં ! બીજા કોઇને પૂછતો ય નથી. બઇને ય પૂછતો નથી કે આ નેકટાઇ પહેર્યા પછી હું કેવો લાગું છું ! અરીસામાં જોઇને પોતે ને પોતે ન્યાય કરે છે કે, ‘બહુ સરસ છે, બહુ સરસ છે.’ આમ આમ પટિયાં પાડતો જાય ! અને સ્ત્રી પણ ચાંદલો કરીને અરીસામાં પોતાના પોતે ચાળા પાડે ! આ કઇ જાતની રીત કહેવાય ?! કેવી લાઇફ ?! ભગવાન જેવો ભગવાન થઇને આ શું ધાંધલ માંડે છે ! પોતે ભગવાન સ્વરૂપ છે. (પા.૬૫)કાનમાં લવિંગિયા ઘાલે છે તે પોતાને દેખાય ખરાં ? આ તો લોક હીરા દેખે એટલા માટે પહેરે છે. આવી જંજાળમાં ફસાયા છે તો ય હીરા દેખાડવા ફરે છે ! અલ્યા, જંજાળમાં ફસાયેલા માણસને શોખ હોય ? ઝટપટ ઉકેલ લાવો ને ! ધણી કહે તો ધણીને સારું દેખાડવા માટે પહેરીએ. શેઠ બે હજારના હીરાના કાપ લાવ્યા હોય ને પાંત્રીસ હજારનું બિલ લાવે તો શેઠાણી ખુશ ! કાપ પોતાને તો દેખાય નહીં. શેઠાણીને મેં પૂછયું કે ‘રાત્રે ઊંઘી જાઓ છો ત્યારે કાનના લવિંગિયા ઊંઘમાં ય દેખાય છે કે નહીં ?’ આ તો માનેલું સુખ છે, ‘રોંગ’ માન્યાતાઓ છે તેથી અંતરશાંતિ થાય નહીં. ભારતીય નારી કોને કહેવાય ? ઘરમાં બે હજારની સાડી આવીને પડેલી હોય તે પહેરે. આ તો ધણિ-ધણિયાણી બજારમાં ફરવા ગયાં હોય ને દુકાને હજારની સાડી ભરાવેલી હોય તે સાડી સ્ત્રીને ખેંચે ને ઘેર આવે તો ય મોં ચઢેલું હોય ને કકળાટ માંડે. તેને ભારતીય નારી કેમ કહેવાય ? ... આવી રીતે ય ક્લેશ ટાળ્યો !હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છે ને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકા કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝગડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકો ય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાક મુસલમાનો તો બીબીને હિંચકો હઉ નાખે. અમારે ‘કોન્ટ્રાક્ટર’નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએ ય ખરા ! અમારે કોઇની જોડે જુદાઇ ના હોય. એક દહાડો ત્યાં ગયેલા તે મિયાભાઇએ બીબીને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં તેને પૂછયું કે, ‘તમે આવું કરો છો તે ચઢી બેસતી, નથી ?’ ત્યારે એ કહે કે ‘એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી, કશું નથી.’ મેં કહ્યું કે, ‘અમારા હિન્દુઓ ને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.’ ત્યારે મિયાંભાઇ કહે કે, ‘આ હિંચકો નાખવાનું કારણ તમે જાણો છો ? મારે તો આ બે જ ઓરડીઓ છે. મારે કંઇ બંગલા નથી આ તો બે જ ઓરડીઓ ને તેમાં બીબી જોડે વઢવાડ થાય તો હું ક્યાં સૂઇ જઉં ? મારી આખી રાત બગડે. (પા.૬૬)એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે ક્લિયર રાખવાનું.’ બીબી મિયાંને કહેશે કે, ‘સવારે ગોસ લાવવાનું કહેતા હતા ને તે કેમ ના લાવ્યા ?’ ત્યારે મિયાંભાઇ રોકડો જવાબ આપે કે, ‘કલ લાઉંગા.’ બીજે દહાડે સવારે કહે, ‘આજ તો કિધર સે ભી લે આઉંગા.’ ને સાંજે ખાલી હાથે પાછો આવે ત્યારે બીબી ખૂબ અકળાય, પણ મિયાંભાઇ ખૂબ પાકો તે એવું બોલે, ‘યાર મેરી હાલત મૈં જાનતા હું !’ તે બીબીને ખુશ કરી દે, ઝઘડો ના કરે! ને આપણા લોક શું કહે ? ‘તું મને દબાય દબાય કરું છું ? જા નથી લાવવાનો.’ અલ્યા, આવું ના બોલાય. ઊલટું તારું વજન તૂટે છે. આવું તું બોલે છે માટે તું જ દબાયેલો છું. અલ્યા, એ તને શી રીતે દબાવે ? એ બોલે ત્યારે શાંત રહેવાનું, પણ નબળા બહુ ચીઢિયા હોય. એટલે એ ચિઢાય ત્યારે આપણે બંધ રાખીને એની ‘રેકર્ડ’ સાંભળવી. જે ઘરમાં ઝઘડો ના થાય તે ઘર ઉત્તમ. અરે ! ઝઘડો થાય પણ પાછું તેને વાળી લે તો ય ઉત્તમ કહેવાય ! મિયાંભાઇને એક દહાડો ખાવામાં ટેસ્ટ ના પડે, મિયાં ચિઢાય ને બોલે કે તું ઐસી હૈ, તૈસી હૈ. અને સામે જો પેલી ચિઢાય તો પોતે ચૂપ થઇ જાય, ને સમજી જાય કે આનાથી ભડકો થશે. માટે આપણે આપણામાં અને એ એનામાં ! અને હિન્દુઓ તો ભડકો કરીને જ રહે ! વાણિયાની પાઘડી જુદી, દક્ષિણીની જુદી, ગુજરાતીની જુદી, સુવર્ણકારની જુદી, બ્રાહ્મણની જુદી, સૌ સૌની પાઘડી જુદી. ચૂલે ચૂલે ધરમ જુદો. બધાનાં ‘વ્યૂ પોઇન્ટ’ જુદા જ, મેળ જ ના ખાય. પણ ઝઘડો ના કરે તો સારું. મતભેદ પહેલાં જ, સાવધાની !આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય તેને લીધે સામાને પણ કલુષિત ભાવ ના થાય. આપણે ના ચિઢાઇએ એટલે એ ય ઠંડા થાય, ભીંત જેવા થઇ જવું એટલે સંભળાય નહીં, અમારે પચાસ વરસ થયાં પણ કોઇ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તો ય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં. (પા.૬૭)હું કહું કે ઢોળો તો ય એ ના ઢોળે. જાણી જોઇને કોઇ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતા પહેલાં જ્ઞાન ઓન-ધ-મોમેન્ટ હાજર રહે. ‘મેરી હાલત મૈં હી જાનતા હું બોલે એટલે બીબી ખુશ થઇ જાય. અને આપણા લોક તો હાલત કે કશું કહે નહીં. અલ્યા, તારી હાલત કહે તો ખરો કે સારી નથી. માટે રાજી રહેજો.’ બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે ‘સમય વર્તે સાવધાન’ તે તને સાવધ થતાં ય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઇએ. ગોર બોલે છે, ‘સમય વર્તે સાવધાન.’ તે ગોર સમજે, પરણનારો શું સમજે ?! સાવધાનનો અર્થ શું ? તો કે ‘બીબી ઉગ્ર થઇ હોય ત્યારે તું ઠંડો થઇ જજે, સાવધ થજે. હવે બેઉ જણ ઝઘડે તો તો પાડોશી જોવા આવે કે ના આવે ? પછી તમાશો થાય કે ના થાય ? અને પાછું ભેગું ના થવાનું હોય તો લઢો. અરે, વહેંચી જ નાખો ! ત્યારે કહે, ‘ના, ક્યાં જવાનું !’ જો ફરી ભેગું થવાનું છે તો પછી શું કરવા લઢે છે ! આપણે એવું ચેતવું ના જોઇએ ? સ્ત્રી જાણે જાતિ એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી. બૈરી ચિઢાય ને કહે, ‘હું તમારી થાળી લઇને નથી આવવાની, તમે જાતે આવો. હવે તમારી તબિયત સારી થઇ છે ને હેંડતા થયા છો. આમ લોકો જોડે વાતો કરો છો, હરોફરો છો, બીડીઓ પીવો છો અને ઉપરથી ટાઇમ થાય ત્યારે થાળી માગો છો. હું નથી આવવાની ! ત્યારે આપણે ધીમે રહીને કહીએ, ‘તમે નીચે થાળીમાં કાઢો, હું આવું છું.’ એ કહે, ‘નથી આવવાની.’ તે પહેલાં જ આપણે કહીએ કે, હું આવું છું, મારી ભૂલ થઇ ગઇ લો. આવું કરીએ તો કંઇ રાત સારી જાય, નહીં તો રાત બગડે. પેલા ડચકારા મારતા તહીં સૂઇ ગયા હોય ને આ બઇ અહીં ડચકારા મારતાં હોય. બેઉને ઊંઘ આવે નહીં. સવારે પાછાં ચાપાણી થાય તે ચાનો પ્યાલો ખખડાવીને મૂકી ડચકારો મારે કે ના મારે ? તે આ બઇએ ય તરત સમજી જાય કે ડચકારો માર્યો. આ કકળાટનું જીવન છે. આખા વર્લ્ડમાં આ (પા.૬૮)હિન્દુઓ ગાળે છે જીવન ક્લેશમાં. ક્લેશ વગરનું ઘર, મંદિર જેવું !જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, ‘સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર વધારે બંધાવીશું, પણ ઘેર આવશો નહીં !’ જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરેન્ટી’ આપું છું. અને ક્લેશ તો બુદ્ધિ અને સમજણથી ભાંગી શકે એમ છે. મતભેદ ટળે એટલી જાગૃતિ તો પ્રકૃતિ ગુણથી પણ આવી શકે છે, એટલી બુદ્ધિ પણ આવી શકે તેમ છે. જાણ્યું તેનું નામ કે કોઇની જોડે મતભેદ ના પડે. મતિ પહોંચતી નથી તેથી મતભેદ થાય છે. મતિ ફૂલ પહોંચે તો મતભેદ ના થાય. મતભેદ એ અથડામણ છે, ‘વિકનેસ’ છે. કંઇક ભાંજગડ થઇ ગઇ હોય તો તમે થોડી વાર ચિત્તને સ્થિર કરો અને વિચારો તો તમને સૂઝ પડશે. ક્લેશ થયો એટલે ભગવાન જતા રહે કે ના જતા રહે ? પ્રશ્નકર્તા : જતા રહે. દાદાશ્રી : ભગવાન અમુક માણસોને ત્યાંથી જતા જ નથી, પણ ક્લેશ થાય ત્યારે કહે, ‘ચાલો અહીંથી, આપણને અહીં નહીં ફાવે.’ આ કકળાટમાં મને નહીં ફાવે. એટલે દેરાસરમાં ને મંદિરમાં જાય. આ મંદિરમાં ય પાછો ક્લેશ કરે. મુગટ, દાગીના લઇ જાય ત્યારે ભગવાન કહેશે કે અહીંથી પણ હેંડો હવે. તે ભગવાને ય કંટાળી ગયા છે. આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઇએ, એટલી તો આપણને આવડત આવડવી જોઇએ. બીજું કંઇ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, ‘ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતા રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો.’ ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઇ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ક્લેશ કરતો હોય તો ય ઓઢીને સૂઇ જવું એ ય થોડી વાર પછી સૂઇ જશે. (પા.૬૯)અને આપણે પણ સામું બોલવા લાગીએ તો ? અવળી કમાણી, ક્લેશ કરાવે !મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, ‘ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?’ ત્યારે એ બેન કહે, ‘રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે !’ મેં કહ્યું, ‘ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા, નહીં ?’ બેન કહે, ‘ના, તે ય પાઉં પાછા કાઢવાના, પાઉંને માખણ ચોપડતા જવાનું.’ તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ ! અલ્યા, કઇ જાતના જીવડાઓ છે ? પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ? દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી ઘરમાં પેઠી છે, તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતા સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી, તે આજે છાસઠ વરસ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા દીધી નથી, ને ઘરમાં કોઇ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય, પણ આ પટેલ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. મારે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું કે ‘પેલી રકમ હતી તે ભરી દો.’ ક્યારે ક્યો ‘એટેક’ થાય તેનું કશું ઠેકાણું નહીં અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ઇન્કમટેક્ષવાળાનો ‘એટેક’ આવ્યો, તે આપણે અહીં પેલો ‘એટેક’ આવે ! બધે ‘એટેક’ પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. (પા.૭૦)અખતરો તો કરી જુઓ !ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને! અખતરો કરવામાં શું વાંધો છે. ત્રણ દિવસના ઉપવાસ કરે છે ને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધાં ભેગાં થઇ ને નક્કી કરો કે ‘દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ.’ પછી જુઓ. ધર્મ કર્યો (!) તો ય ક્લેશ ?જ્યાં ક્લેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે ત્યાં ક્લેશ ના થાય. આ ઘેર ઘેર ક્લેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ? સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઇએ છે કે શું કરવાથી ક્લેશ ના થાય, એટલું જ જો આવડી જાય તો ય ધર્મ પામ્યા ગણાય. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો મોક્ષની વાત કરવી, નહીં તો મોક્ષની વાત કરવી નહીં, સ્વર્ગ નહીં તો સ્વર્ગની નજીકનું તો થવું જોઇએ ને ? ક્લેશરહિત થવું જોઇએ, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે ‘જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી.’ જેલની અવસ્થા હોય ત્યાં ‘ડિપ્રેશન’ નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં ‘એલિવેશન’ નહીં, એવું હોવું જોઇએ. ક્લેશ વગર જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો, તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઇએ છે. કારણ કે બંધન કોઇને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું સ્ટેશન છે મોક્ષનું. ... તો ય આપણે છતું કરીએ !એક વાણિયાને મેં પૂછયું, ‘તમારે ઘરમાં વઢવાડ થાય છે ?’ ત્યારે એણે કહ્યું, ‘ઘણી થાય છે.’ મેં પૂછયું, ‘એનો તું શો ઉપાય કરે છે ?’ વાણિયો કહે, ‘પહેલાં તો હું બારણાં વાસી આવું છું.’ મેં પૂછયું, ‘પહેલાં બારણાં વાસવાનો શો હેતુ ?’ વાણિયાએ કહ્યું, ‘લોકો પેસી જાય તે ઊલટી વઢવાડ વધારે. ઘરમાં વઢીએ પછી એની મેળે ટાઢું પડે.’ આની બુદ્ધિ સાચી (પા.૭૧)છે, મને આ ગમ્યું. આટલી ય અક્કલવાળી વાત હોય તો તેને આપણે ‘એક્સેપ્ટ’ કરવી જોઇએ. કોઇ ભોળા માણસ તો ઊલટાનું બારણું બંધ હોય તો ઉઘાડી આવે. અને લોકોને કહે, ‘આવો, જુઓ અમારે ત્યાં !’ અલ્યા, આ તો તાયફો કર્યો ! આ લઠ્ઠબાજી કરે છે તેમાં કોઇની જવાબદારી નથી, આપણી પોતાની જ જોખમદારી છે. આને તો પોતે જ છૂટું કરવું પડે ! જો તું ખરો ડાહ્યો પુરુષ હોય તો લોકો ઊંધું નાખ નાખ કરે તેને તું છતું કર કર કર્યા કર તો તારો ઉકેલ આવશે. લોકોનો સ્વભાવ જ ઊંધું નાખવું એ છે. તું સમકિતી હોઉં તો લોકો ઊંધું નાખે તો આપણે છતું કરી નાખીએ, આપણે તો ઊંધું નાખીએ જ નહીં. બાકી, જગત તો આખી રાત નળ ઉઘાડો રાખે ને માટલું ઊંધું રાખે એવું છે ! પોતાનું જ સર્વસ્વ બગાડી રહ્યા છે. એ જાણે કે હું લોકોનું બગાડું છું. લોકનું તો કોઇ બગાડી શકે એમ છે જ નહીં, કોઇ એવો જન્મ્યો જ નથી. હિન્દુસ્તાનમાં પ્રકૃતિ મપાય નહીં, અહીં તો ભગવાન પણ ગોથાં ખાઇ જાય ! ‘ફોરેન’માં તો એક દહાડો એની ‘વાઇફ’ જોડે સાચો રહ્યો તો આખી જિંદગી સાચો નીકળે; અને અહીં તો આખો દહાડો પ્રકૃતિને જો જો કરે છતાં ય પ્રકૃતિ મપાય નહીં. આ તો કર્મના ઉદય ખોટ ખવડાવે છે, નહીં તો આ લોકો ખોટ ખાય ? અરે, મરે તો ય ખોટ ના ખાય, આત્માને બાજુએ થોડીવાર બેસાડીને પછી મરે. ‘ફરી જઈ’ને મતભેદ ટાળ્યો !દાદાશ્રી : જમતી વખતે ટેબલ પર મતભેદ થાય છે ? પ્રશ્નકર્તા : એ તો થાય ને ! દાદાશ્રી : કેમ પરણતી વખતે આવો કરાર કરેલો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તે વખતે તો કરાર કરેલા કે સમય વર્તે સાવધાન. ઘરમાં વાઇફ જોડે ‘તમારું ને અમારું’ એવી વાણી ના હોવી જોઇએ. વાણી વિભક્ત ના હોવી જોઇએ, વાણી અવિભક્ત હોવી જોઇએ. આપણે (પા.૭૨)અવિભકત કુટુંબના ને ? અમારે હીરાબા જોડે ક્યારેય મતભેદ થયો નથી, ક્યારેય વાણીમાં ‘મારી-તારી’ થયું નથી. પણ એક ફેરો અમારે મતભેદ પડી ગયેલો. એમના ભાઇને ત્યાં પહેલી દીકરીના લગ્ન હતાં. તે તેમણે મને પૂછયું કે, ‘એમને શું આપવું છે ?’ ત્યારે મેં તેમને કહ્યું કે, ‘તમને ઠીક લાગે તે, પણ ઘરમાં આ તૈયાર ચાંદીના વાસણો પડેલાં છે તે આપજો ને ! નવું બનાવશો નહીં.’ ત્યારે એમણે કહ્યું કે, ‘તમારા મોસાળમાં તો મામાની દિકરી પરણે તો મોટા મોટા તાટ બનાવીને આપો છો !’ એ મારા ને તમારા શબ્દો બોલ્યાં ત્યારથી હું સમજી ગયો કે આજ આબરૂ ગઇ આપણી ! આપણે એકના એક ત્યાં મારાં-તમારાં હોય ? હું તરત સમજી ગયો ને તરત હું ફરી ગયો, મારે જે બોલવું હતું તે ઉપરથી આખો ય હું ફરી ગયો. મેં તેમને કહ્યું, ‘હું એવું નથી કહેવા માગતો. તમે આ ચાંદીના વાસણ આપજો ને ઉપરથી પાંચસો એક રૂપિયા આપજો, એમને કામ લાગશે.’ ‘હં... એટલા બધા રૂપિયા તે કંઇ અપાતા હશે ? તમે તો જ્યારે ને ત્યારે ભોળા ને ભોળા જ રહો છો, જેને તેને આપ આપ જ કરો છો.’ મે કહ્યું, ‘ખરેખર, મને તો કશું આવડતું જ નથી.’ જુઓ, આ મારે મતભેદ પડતો હતો, પણ કેવો સાચવી લીધો ફરી જઇને ! સરવાળે મતભેદ ના પડવા દીધો. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી અમારે નામે ય મતભેદ નથી થયો. બા પણ દેવી જેવાં છે ! મતભેદ કોઇ જગ્યાએ અમે પડવા ના દઇએ. મતભેદ પડતા પહેલાં જ અમે સમજી જઇએ કે આમથી ફેરવી નાખો, ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતાં આવડે. પણ ગાડું રાગે પાડી દઇએ, મતભેદ થવા ના દઇએ. આપણા સત્સંગમાં વીસેક હજાર માણસો ને ચારેક હજાર મહાત્માઓ, પણ અમારે કોઇ જોડે એકુંય મતભેદ નથી. જુદાઇ માની જ નથી મે કોઇની જોડે ! જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સર્વાંશ જ્ઞાન છે. ‘સેન્ટર’માં બેસે તો જ મતભેદ ના રહે. ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસો ને ‘અમારું- (પા.૭૩)તમારું’ રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય ! સમકિતીની નિશાની શું ? ત્યારે કહે, ઘરનાં બધાં ઊંધું કરી આપે તો ય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશીનરી’ કેવી છે, એનો ‘ફયુઝ’ ઊડી જાય તો શી રીતે ‘ફયુઝ’ બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઇએ. અમારે જો સામાનો ‘ફયુઝ’ ઊડી જાય તો ય અમારું એડજસ્ટમેન્ટ હોય. પણ સામાનું ‘એડજસ્ટમેન્ટ’ તૂટે તો શું થાય ? ‘ફયુઝ’ ગયો. એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઇ ફયુઝ નાખી આપે તો પાછું રાગે પડે નહીં તો ત્યાં સુધી એ ગુંચાય. સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઇસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછા ઘા રૂઝાઇ જાય. મૂર્છિતપણું ખરું ને ! મોહને લઇને મૂર્છિતપણું છે. મોહને લઇને ઘા રૂઝાઇ જાય. જો ઘા ના રૂઝાય તો તો વૈરાગ્ય જ આવી જાય ને ?! મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ બહુ થયા હોય, પણ ભૂલી જાય. ડાયવોર્સ લેતી વખતે નક્કી કરે કે હવે કોઇ સ્ત્રીને પરણવું નથી, તો ય ફરી પાછો ઝંપલાવે ! ... આ તે કેવી ફસામણ ?!પૈણશે નહીં તો જગતનું બેલેન્સ કેમ રહેશે ? પૈણ ને. છો ને પૈણે ! ‘દાદા’ને તેનો વાંધો નથી, પણ વાંધો અણસમજણનો છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે બધું કરો, પણ વાતને સમજો કે શું હકીકત છે! ભરત રાજાએ તેરસો રાણીઓ સાથે આખી જિંદગી કાઢી અને તે જ ભવે મોક્ષ લીધો ! તેરસો રાણીઓ સાથે !!! માટે વાતને સમજવાની છે. સમજીને સંસારમાં રહો, બાવા થવાની જરૂર નથી. જો આ ના સમજાયું તો બાવો થઇને એક ખૂણામાં પડી રહે. બાવો તો, જેને સ્ત્રી જોડે સંસારમાં ફાવતું ના હોય તે થાય, અને સ્ત્રીથી દૂર રહેવાય છે કે નહીં, એવી શક્તિ કેળવવા માટેની એક કસરત છે. સંસાર તો ટેસ્ટ એક્ઝામિનેશન છે. ત્યાં ટેસ્ટેડ થવાનું છે. લોખંડ (પા.૭૪)પણ ટેસ્ટેડ થયા વગરનું ચાલતું નથી, તો મોક્ષમાં અન્ટેસ્ટેડ ચાલતું હશે ? માટે મૂર્છિત થવા જેવું આ જગત નથી. મૂર્છાને લીધે આવું જગત દેખાય છે અને માર ખઇ ખઇને મરી જવાનું ! ભરતરાજાને તેરસો રાણીઓ હતી તે તેની શી દશા હશે ? આ ઘેર એક રાણી હોય તો ય તે ફજેતો કરાવ કરાવ કરે છે તો તેરસો રાણીઓમાં ક્યારે પાર આવે ? અરે, એક રાણી જીતવી હોય તો મહામુશ્કેલ થઇ પડે છે! જિતાય જ નહીં. કારણ કે મતભેદ પડે કે પાછો લોચો પડી જાય ! ભરતરાજાને તો તેરસો રાણીઓ જોડે નભાવવાનું. રાણીવાસમાંથી પસાર થાય તો પચાસ રાણીઓનાં મોઢાં ચઢેલાં ! અરે, કેટલીક તો રાજાનું કાટલું જ કાઢી નાખવા ફરતી હોય. મનમાં વિચારે કે ફલાણી રાણીઓ એમની પોતાની ને આ પરભારીઓ ! એટલે રસ્તો કંઇક કરો. કાંઇક કરે તે રાજાને મારવા માટે, પણ તે પેલી રાણીઓને બુઠ્ઠી કરવા સારું ! રાજા ઉપર દ્વેષ નથી, પેલી રાણીઓ ઉપર દ્વેષ છે. પણ એમાં રાજાનું ગયું ને તું તો રાંડીશ ને? ત્યારે કહે કે, ‘હું રાંડીશ પણ આને રંડાવું ત્યારે ખરી !’ આ અમને તો બધું તાદ્શ્ય દેખાયા કરે, આ ભરત રાજાની રાણીનું તાદ્શ્ય અમને દેખાયા કરે. તે દહાડે કેવું મોઢું ચઢેલું હશે. રાજાની કેવી ફસામણ હશે, રાજાના મનમાં કેવી ચિંતાઓ હશે, તે બધું ય દેખાય ! એક રાણી જો તેરસો રાજાઓ જોડે પૈણી હોય તો રાજાઓનાં મોઢાં ના ચઢે ! પુરુષને મોઢું ચઢાવતા આવડે જ નહીં. આક્ષેપો, કેટલા દુઃખદાયી !બધું જ તૈયાર છે, પણ ભોગવતાં આવડતું નથી, ભોગવવાની રીત આવડતી નથી. મુંબઇના શેઠિયાઓ મોટા ટેબલ પર જમવા બેસે છે, પણ જમી રહ્યા પછી તમે આમ કર્યું, તમે તેમ કર્યું, મારું હૈયું તું બાળબાળ કરે છે વગર કામની. અરે વગર કામનું તો કોઇ બાળતું હશે ? કાયદેસર બાળે છે, ગેરકાયદેસર કોઇ બાળતું જ નથી. આ લાકડાંને લોકો બાળે છે, પણ લાકડાના કબાટને કોઇ બાળે છે ? જે બાળવાનું હોય તેને જ બાળે છે. આમ આક્ષેપો આપે છે. આ તો ભાન જ નથી. મનુષ્યપણું બેભાન થઇ ગયું છે, નહીં તો ઘરમાં તે આક્ષેપો અપાતા હશે ? પહેલાંના વખતમાં (પા.૭૫)ઘરમાં માણસો એકબીજાને આક્ષેપો આપે જ નહીં. અરે, આપવાનો થાય તો ય ના આપે. મનમાં એમ જાણે કે આક્ષેપ આપીશ તો સામાને દુઃખ થશે અને કળિયુગમાં તો લાગમાં લેવા ફરે. ઘરમાં મતભેદ કેમ હોય? ખખડાટમાં, જોખમદારી પોતાની જ !પ્રશ્નકર્તા : મતભેદ થવાનું કારણ શું ? દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું, દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતા નથી. પ્રશ્નકર્તા : પણ વાસણ તો ઘરમાં ખખડે જ ને ? દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગ્રત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને (માણસોને) તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે, આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે ! અને પેલાં વાસણોને કંઇ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે, બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચકકર, આપણે કંઇ વાસણ છીએ ? એટલે આપણને ખખડાટ જોઇએ ? આ દાદાને કોઇએ કોઇ દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નું ય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઇ કો’કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણવાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઇને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઇશું ઓફિસે ! શું ખોટું ? ચાનો ય કંઇ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે ‘વ્યવસ્થિત’ ! એનો ટાઇમ થશે એટલે ચા મળશે, તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો એ આવીને ઊભી રહેશે, અને સ્પંદન ઊભા કરશો તો ય એ આવશે. પણ સ્પંદનનાં, પાછા વાઇફના ચોપડામાં હિસાબ જમે થશે કે તમે તે દહાડે (પા.૭૬)ટેબલ ઠોકતા હતા ને ! પ્રકૃતિ ઓળખીને, ચેતતા રહેવું !પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે, પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ કે, ‘તે દહાડે તમે આવું બોલ્યા હતા તે મારે કાળજે વાગેલું છે’. અલ્યા, વીસ વર્ષ થયાં તો ય નોંધ તાજી !! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તો ય હજી પેલી વાત રાખી મેલી ?! બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડી ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે, કાળજાની મહીં, માટે આલશો કરશો નહીં. નથી આલવા જેવી ચીજ આ, ચેતતા રહેવા જેવું છે. તેથી શાસ્ત્રમાં હઉ લખ્યું છે કે, ‘રમા રમાડવી સહેલ છે, વીફરે મહામુશ્કેલ છે !’ વીફરે તો એ શું ના કલ્પે તે કહેવાય નહીં. માટે સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. શાક ટાઢું કેમ થઇ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો, એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ હોય તો ઠીક છે. આ તો રોજ! ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’ આપણે ભારમાં રહેવું જોઇએ. દાળ સારી ના થઇ હોય, શાક ટાઢું થઇ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઇ વખત કે’, આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે. આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય. ડીલિંગ ન આવડે, તે વાંક કોનો ?!અઢારસો રૂપિયાની ઘોડી લો, પછી ભઇ ઉપર બેસી જાય. ભઇને બેસતાં ના આવડે, તે સળી કરવા જાય એટલે ઘોડીએ કોઇ દિવસ સળી જોઇ ના હોય એટલે ઊભી થઇ જાય ! અક્કરમી પડી જાય ! પાછો ભઇ લોકોને કહે શું કે, ‘ઘોડીએ મને પાડી નાખ્યો’. અને આ ઘોડી એનો ન્યાય કોને કહેવા જાય ? ઘોડી પર બેસતાં તને નથી આવડતું એમાં તારો વાંક કે ઘોડીનો ? અને ઘોડી ય બેસતાંની સાથે જ સમજી જાય કે આ તો જંગલી (પા.૭૭)જનાવર બેઠું, આને બેસતાં આવડતું નથી ! તેમ આ હિન્દુસ્તાની સ્ત્રીઓ એટલે આર્યનારી, તેની જોડે કામ લેતાં ના આવડે તો પછી એ પાડે જ ને ? એક ફેર ધણી જો સ્ત્રીની સામે થાય તો તેનો વક્કર જ ના રહે. આપણું ઘર સારી રીતે ચાલતું હોય, છોકરાં ભણતાં હોય સારી રીતે, કશી ભાંજગડ ના હોય અને આપણને તેમાં અવળું દેખાયું અને વગર કામના સામા થઇએ એટલે આપણી અક્કલનો કીમિયો સ્ત્રી સમજી જાય કે આનામાં બરકત નથી. જો આપણામાં વકકર ના હોય તો ઘોડીને પંપાળ પંપાળ કરીએ તો ય એનો પ્રેમ આપણને મળે. પહેલો વકકર પડવો જોઇએ. ‘વાઇફ’ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય ? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે. કેટલાક સાહેબ એવા હોય છે કે ‘ઓફિસ’માં કારકૂન જોડે ડખાડખ કર્યા કરે. બધા કારકૂન પણ સમજે કે સાહેબનામાં બરકત નથી. પણ કરે શું ! પુણ્યૈએ એને બોસ તરીકે બેસાડ્યો ત્યાં ? ઘેર તો બીબી જોડે પંદર પંદર દિવસથી કેસ પેન્ડિગ પડેલો હોય ! સાહેબને પૂછીએ, ‘કેમ ?’ તો કહે કે, ‘એનામાં અક્કલ નથી’. ને એ અક્કલનો કોથળો ! વેચે તો ચાર આના ય ના આવે ! સાહેબની ‘વાઇફ’ને પૂછીએ તો એ કહેશે કે, ‘જવા દો ને એમની વાત. કશી બરકત જ નથી એમનામાં !’ સ્ત્રીઓ માનભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે. ઠેઠ નનામી કાઢતાં સુધી એ રીસ સાબૂત હોય ! એ રીસ જો ભૂલાતી હોય તો જગત બધું ક્યારનું ય પૂરું થઇ ગયું હોત ! નથી ભૂલાય એવું માટે ચેતતા રહેજો. બધું ચેતીને કામ કરવા જેવું છે ! સ્ત્રીચરિત્ર કહેવાય છે ને ? એ સમજાય એવું નથી. પાછી સ્ત્રીઓ દેવીઓ પણ છે ! એટલે એવું છે, કે એમને દેવીઓ તરીકે જોશો તો તમે દેવ થશો. બાકી તમે તો મરઘા જેવા રહેશો, હાથિયા ને મરઘા જેવા ! હાથીભાઇ આવ્યા ને મરઘાભાઇ આવ્યા ! આ તો લોકોને રામ થવું નથી ને ઘરમાં સીતાજીને ખોળે છે ! ગાંડિયા, રામ તો તને નોકરીમાં ય ના રાખે. આમાં આમનો પણ દોષ નથી. તમને સ્ત્રીઓ જોડે ‘ડીલિંગ’ કરતાં (પા.૭૮)નથી આવડતું . તમને વેપારીઓને ઘરાક જોડે ડીલિંગ કરતાં ના આવડે તો એ તમારી પાસે ના આવે. એટલે આપણા લોક નથી કહેતા કે ‘સેલ્સમેન’ સારો રાખો ? સારો, દેખાવડો, હોશિયાર ‘સેલ્સમેન’ હોય તો લોક થોડો ભાવ પણ વધારે આપી દે. એવી રીતે આપણને સ્ત્રી જોડે ‘ડીલિંગ’ કરતાં આવડવું જોઇએ. સ્ત્રીને તો એક આંખે દેવી તરીકે જુઓ ને બીજી આંખે એનું સ્ત્રી-ચરિત્ર જુઓ. એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઇ રાખો તો જ બેલેન્સ જળવાશે. એકલી દેવી તરીકે જોશો ને આરતી ઉતારશો તો એ ઊંધે પાટે ચઢી જશે, માટે ‘બેલેન્સ’માં રાખો. ‘વ્યવહાર’ને ‘આ’ રીતે સમજવા જેવો !પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાનાં ડિપાર્ટમેન્ટમાં જ રહેવું. પ્રશ્નકર્તા : સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કયું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના ઘાલવો ? દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું, તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતાં હોય કે ‘ઘઉં લાવવામાં અડચણ પડે છે’ તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતાં ના હોય, રેશન બતાવતાં ના હોય, તો આપણે એ ‘ડિપાર્ટમેન્ટ’માં હાથ ઘાલવાની જરૂર જ શી ? આજે દૂધપાક કરજો, આજે જલેબી કરજો એ ય આપણે કહેવાની જરૂર શી ? ટાઇમ આવશે ત્યારે એ મૂકશે. એમનું ‘ડિપાર્ટમેન્ટ’ એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઇચ્છા થઇ હોય તો કહેવું કે, ‘આજે લાડુ બનાવજે.’ કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે કઢી ખારી થઇ, ખારી થઇ તે બધું ગમ વગરનું છે. આ રેલવેલાઇન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું ‘ડિપાર્ટમેન્ટ’ જ આખું જુદું. હવે તેમાં ય ખામી તો આવે જ ને ? તેમ ‘વાઇફ’ના ડિપાર્ટમેન્ટમાં કો’ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઇએ (પા.૭૯)તો પછી એ આપણી ખામી કાઢશે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે. એટલે એ વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય ! એટલો ખરો માણસ તો ઘરના બાબતમાં હાથ જ ના ઘાલે. એને પુરુષ કહેવાય. નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઇને મરચાંનાં ડબ્બામાં જુએ કે, આ બે મહિના પર મરચાં લાવ્યાં હતાં તે એટલી વારમાં થઇ રહ્યાં ? અલ્યાં, મરચાં જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું ‘ડિપાર્ટમેન્ટ’ હોય તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયા ય કરે. પણ આ વગર કામનો દોઢડાહ્યો થવા જાય! પછી બઇએ ય જાણે કે ભઇની પાવલી પડી ગયેલી છે. માલ કેવો છે તે બેન સમજી જાય. ઘોડી સમજી જાય કે ઉપર બેસનાર કેવો છે, તેમ સ્ત્રી પણ બધું સમજી જાય. એના કરતાં ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’. ભાભો ભારમાં ના રહે તો વહુ શી રીતે લાજમાં રહે ? નિયમ અને મર્યાદાથી જ વ્યવહાર શોભશે. મર્યાદા ના ઓળંગશો ને નિર્મળ રહેજો. પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઇ બાબતમાં હાથ ના ઘાલવો ? દાદાશ્રી : પુરુષની કોઇ બાબતમાં ડખો જ ના કરવો. દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ? પેલાને પછી કહેવું પડે કે, ‘આજે નવની ગાડી ચૂકી ગયો.’ ત્યારે બેન કહેશે કે, ‘એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?’ એટલે પછી પેલા ચિઢાઇ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખો કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી પુરુષે એકમેકને હેલ્પ કરવી જોઇએ. ધણીને ચિંતા-વરીઝ રહેતી હોય તે તેને કેમ કરીને ના થાય એવું સ્ત્રી બોલતી હોય. તેમ ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઇએ કે સ્ત્રીને છોકરાં ઘેર કેટલાં હેરાન કરતાં હશે! ઘરમાં તૂટે-ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઇએ. પણ તે ય લોક બૂમ પાડે કે ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે એ બધાંએ કેમ ફોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું. એટલે પેલી (પા.૮૦)બેનને મનમાં લાગે કે, મેં તોડી નાખ્યા ? મારે કંઇ એને ખઇ જવાં હતાં ? તૂટી ગયાં તે તૂટી ગયાં, તેમાં હું શું કરું ? મી કાય કરું ? કહેશે. હવે ત્યાં ય વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવા ય નહીં. જ્યાં વઢવાનું કોઇ કારણ જ નથી ત્યાં ય લઢવાનું ?! અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં હાથ જ નહીં ઘાલવાનો કોઇ દહાડો ય. એમના હાથ પૈસા પડી ગયા, અમે દીઠા હોય તો ય અમે એમ ના કહીએ કે ‘તમારા પૈસા પડી ગયા.’ તે જોયું કે ના જોયું ? ઘરની કોઇ બાબતમાં ય અમારે હાથ ઘાલવાનો નહીં. એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઇએ, ક્યારે આવીએ, ક્યારે જઇએ, એવી અમારી કોઇ બાબતમાં ક્યારે પણ એ અમને ના પૂછે. અને કો’ક દહાડો અમને કહે કે, ‘આજે વહેલા નાહી લો.’ તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઇએ. અરે, અમારી જાતે ટુવાલ લઇને નાહી લઇએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો’ ધરે છે. માટે કંઇક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઇક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઇએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમે ય સમજી લો ને, કે કોઇ કોઇનામાં હાથ ઘાલવા જેવું નથી. ફોજદાર પકડીને આપણને લઇ જાય પછી એ જેમ કહે તેમ આપણે ના કરીએ ? જ્યાં બેસાડે ત્યાં આપણે ના બેસીએ ? આપણે જાણીએ કે અહીં છીએ ત્યાં સુધી આ ભાજગડમાં છીએ એવું આ સંસારે ય ફોજદારી જ છે. એટલે એમાં ય સરળ થઇ જવું. ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : રસોઇ જોઇએ તે મળે, ખાટલો પાથરી આપે, પછી શું ? અને ખાટલો ના પાથરી આપે તો તે ય આપણે પાથરી લઇએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજાવવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઇ ગીતામાં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશે ને ? ‘હસબંડ’ એટલે ‘વાઇફ’ની ય ‘વાઇફ’ ! (પતિ એટલે પત્નીની (પા.૮૧)પત્ની !) આ તો લોક ધણી જ થઇ બેસે છે ! અલ્યા, ‘વાઇફ’ કંઇ ધણી થઈ બેસવાની છે ?! ‘હસબન્ડ’ એટલે ‘વાઈફ’ની ‘વાઈફ’. આપણા ઘરમાં મોટો અવાજ ના થવો જોઇએ. આ કંઇ ‘લાઉડ સ્પીકર’ છે ? આ તો અહીં બૂમો પાડે તે પોળના નાકા સુધી સંભળાય ! ઘરમાં, ‘ગેસ્ટ’ તરીકે રહો. અમે ય ઘરમાં ‘ગેસ્ટ’ તરીકે રહીએ છીએ. કુદરતના ‘ગેસ્ટ’ તરીકે તમને જો સુખ ના આવે તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ?! ‘માર’નો પછી બદલો વાળે !પ્રશ્નકર્તા : દાદા, મારો મિજાજ છટકી જાય તે પછી મારે હાથ કેટલીક વાર બૈરી પર ઉપડી જાય છે. દાદાશ્રી : સ્ત્રીને કોઇ દિવસ મરાય નહીં. જ્યાં સુધી ગાતરો મજબૂત હોય તમારા ત્યાં સુધી એ ચૂપ રહે, પછી એ તમારા પર ચઢી બેસે. સ્ત્રીને ને મનને મારવું એ તો સંસારમાં ભટકવાનાં બે સાધનો છે, આ બેને મરાય નહીં. તેમની પાસે તો સમજાવીને કામ લેવું પડે. અમારો એક ભાઇબંધ હતો, તે હું જ્યારે જોઉં ત્યારે બૈરીને એક તમાચો આપી દે, એની જરાક ભૂલ દેખાય તો આપી દે. પછી હું એને ખાનગીમાં સમજાવું કે આ તમાચો તે એને આપ્યો પણ એની એ નોંધ રાખશે. તું નોંધ ના રાખું પણ એ તો નોંધ રાખશે જ. અરે, આ તારાં નાનાં નાનાં છોકરાં, તું તમાચો મારે છે ત્યારે તને ટગર ટગર જોયા કરે છે તે ય નોંધ રાખશે. અને એ પાછાં મા ને છોકરાં ભેગાં મળીને આનો બદલો વાળશે. એ ક્યારે બદલો વાળશે ? તારાં ગાતર ઢીલાં પડશે ત્યારે. માટે સ્ત્રીને મારવા જેવું નથી. મારવાથી તો ઊલટું આપણને જ નુકસાનરૂપ, અંતરાયરૂપ થઇ પડે છે. આશ્રિત કોને કહેવાય ? ખીલે બંધી ગાય હોય, તેને મારીએ તો એ ક્યાં જાય? ઘરના માણસો ખીલે બાંધેલાં જેવા છે, તેને મારીએ તો આપણે નંગોડ કહેવાઇએ. એને છોડી દે ને પછી માર, તો તે તને મારશે અથવા તો નાસી જશે. બાંધેલાને મારવું એ શૂરવીરનાં કામ કેમ કહેવાય ? એ તો બાયલાનાં કામ કહેવાય. ઘરના માણસને તો સહેજે ય દુઃખ દેવાય જ નહીં. જેનામાં સમજ (પા.૮૨)ના હોય તે ઘરનાંને દુઃખ દે. ફરિયાદ નહીં, નિકાલ લાવો ને !પ્રશ્નકર્તા : દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ? દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઇ જઇશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તુ ફરિયાદી થઇ જઇશ અને સામો આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમા આરોપી તું ઠરીશ. માટે કોઇની વિરુદ્ધ ફરિયાદ ના કરવી. પ્રશ્નકર્તા : તો મારે શું કરવું ? દાદાશ્રી : ‘એ’ અવળા દેખાય તો કહેવું કે, એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે. એમ ગુણાકાર થઇ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઇ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઇ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. ‘જ્ઞાની પુરુષ’ બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. સામાનો દોષ જ ના જોઇએ, નહીં તો એનાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઇ કહેવાનું જ ના રહ્યું ને ? બધાં અન્યોન્ય દોષ દે કે ‘તમે આવા છો, તમે તેવાં છો.’ ને ભેગાં બેસીને ટેબલ પર ખાય. આમ વેર મહીં બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી (પા.૮૩)રહી છે. તેથી તો અમે કહ્યું કે ‘સમભાવે નિકાલ કરજો.’ એનાથી વેર બંધ થાય. સુખ લેતાં ફસામણ વધી !સંસારી મીઠાઇમાં શું છે ? કઇ એવી મીઠાઇ છે કે જે ઘડીવારે ય ટકે ? વધારે ખાધી હોય તો અજીર્ણ થાય, ઓછી ખાધી હોય તો મહીં લાલચ પેસે. વધારે ખાય તો મહીં તરફડામણ થાય. સુખ એવું હોવું જોઇએ કે તરફડામણ ના થાય. જુઓને, આ દાદાને છે ને એવું સનાતન સુખ ! સુખ પડે એટલા માટે લોક શાદી કરે છે, ત્યારે ઊલટું વધારે ફસામણ લાગે. મને કોઇ ‘હેલ્પર’ મળે, સંસાર સારો ચાલે એવો કોઇ ‘પાર્ટનર’ મળે એટલા માટે શાદી કરે છે ને ? સંસાર આમ આકર્ષક હોય પણ મહીં પેઠા પછી મૂંઝવણ થાય, પછી નીકળાય નહીં. લક્કડ કા લડ્ડુ જો ખાય વો ભી પસ્તાય, જો ના ખાય વો ભી પસ્તાય.’ પૈણીને પસ્તાવાનું, પણ પસ્તાવાથી જ્ઞાન થાય. અનુભવજ્ઞાન થવું જોઇએ ને ? એમને એમ ચોપડી વાંચે તો કંઇ અનુભવજ્ઞાન થાય ? ચોપડી વાંચીને કંઇ વૈરાગ આવે ? વૈરાગ તો પસ્તાવો થાય ત્યારે થાય. આ રીતે લગ્ન નક્કી થાય !એક બેનને પરણવું જ નહોતું, એમનાં ઘરનાં મારી પાસે તેને તેડી લાવ્યાં. ત્યારે મેં એને સમજાવી, પૈણ્યા વગર ચાલે એમ નથી અને પૈણીને પસ્તાયા વગર ચાલે તેમ નથી. માટે આ બધી રોકકળાટ રહેવા દે ને હું કહું છું એ પ્રમાણે તું પરણી જા. જેવો વર મળે એવો, પણ વર તો મળ્યો ને ? કોઇ પણ જાતનો વર જોઇએ. એટલે લોકોને આંગળી કરવાની ટળી જાય ને ! અને ક્યા આધારે ધણી મળે છે એ મે તેને સમજાવ્યું. બેન સમજી ગઇ, ને મારા કહ્યા પ્રમાણે પૈણી. પણ પછી વર જરા દેખાવડો ના લાગ્યો. પણ એણે કહ્યું કે મને દાદાજીએ કહ્યું છે એટલે પરણવું જ છે. બેનને પૈણતા પહેલાં જ્ઞાન આપ્યું, અને પછી તો એણે મારો એક શબ્દ ઓળંગ્યો નહિ ને બેન એકદમ સુખી થઇ ગઇ. (પા.૮૪)છોકરાઓ છોકરીની પસંદગી કરતા પહેલાં બહું ચૂંથે છે. બહુ ઊંચી છે, બહુ નીચી છે, બહુ જાડી છે, બહુ પાતળી છે, જરા કાળી છે. મેર ચકકર, આ તે ભેંસ છે ? છોકરાંઓને સમજ પાડો કે લગ્ન કરવાની રીત શું હોય ! તારે જઇને છોડીને જોવી ને આંખથી આકર્ષણ થાય એ આપણું લગ્ન નક્કી જ છે અને આકર્ષણ ના થાય તો આપણે બંધ રાખવું. ‘જગત’ વેર વાળે જ !આ તો ‘આમ ફર, તેમ ફર’ કરે ! એક છોકરો આવું બોલતો હતો તેને મેં તો ખખડાવ્યો. મેં કહ્યું, ‘તારી મધર હઉ વહુ થઇ હતી. તું કઇ જાતનો માણસ છે તે ?’ સ્ત્રીઓનું આટલું બધું ઘોર અપમાન ! આજે છોકરીઓ વધારે વધી ગઇ છે તેથી સ્ત્રીઓનું અપમાન થાય છે. પહેલાં તો આ ડોબાઓનું ઘોર અપમાન થતું હતું, તેનો આ બદલો વાળે છે. પહેલાં તો પાંચસો ડોબાઓ-રાજાઓ લાઇનબંધ ઊભા રહે ને એક રાજકુંવરી વરમાળા પહેરાવવા નીકળે, ને ડોબાઓ ડોક આગળ ધરીને ઊભા રહે ! કુંવરી આગળ ખસી કે ડોબાને કાપો તો લોહી ય ના નીકળે ! કેવું ઘોર અપમાન ! બળ્યું, આ પૈણવાનું !! એના કરતા ના પૈણ્યા હોય તો સારું !! અને આજકાલ તો છોકરીઓ હઉ કહેતી થઇ ગઇ છે કે જરા આમ ફરો તો ? તમે જરા કેવા દેખાવ છો ? જુઓ, આપણે આમ જોવાની ‘સિસ્ટમ’ કાઢી તો આ વેષ થયો ને આપણો ? એના કરતાં ‘સિસ્ટમ’ જ ના પાડીએ તો શું ખોટું ? આ આપણે લફરું ઘાલ્યું તો આપણને એ લફરું વધ્યું. આ કાળમાં જ છેલ્લાં પાંચેક હજાર વર્ષથી પુરુષો કન્યા લેવા જાય છે. તે પહેલાં તો બાપ સ્વયંવર રચે ને તેની મહીં પેલા સો ડોબા આવેલા હોય ! તેમાથી કન્યા એક ડોબાને પાસ કરે ! આ રીતે પાસ કરીને પૈણવાનું હોય તેના કરતાં ના પૈણવું સારું. આ બધા ડોબા લાઇનબંધ ઊભા હોય, તેમાંથી કન્યા વરમાળા લઇને નીકળી હોય. બધાંના મનમાં લાખ આશાઓ હોય તે ડોકી આગળ ધર્યા કરે ! આ રીતે આપણી પસંદગી વહુ કરે એના કરતાં જન્મ જ ના લેવો સારો ! તે આજે એ ડોબાઓ (પા.૮૫)સ્ત્રીઓનું ભયંકર અપમાન કરીને વેર વાળે છે ! સ્ત્રીને જોવા જાય ત્યારે કહે, ‘આમ ફર, તેમ ફર.’ ‘કોમનસેન્સ’થી ‘સોલ્યુશન’ આવે !હું બધાંને એમ નથી કહેતો કે તમે બધાં મોક્ષે ચાલો. હું તો એમ કહું છું કે ‘જીવન જીવવાની કળા શીખો.’ ‘કોમનસેન્સ’ થોડી ઘણી તો શીખો લોકોની પાસેથી ! ત્યારે શેઠિયાઓ મને કહે છે કે, ‘અમને કોમનસેન્સ તો છે.’ ત્યારે મેં કહ્યું, ‘કોમનસેન્સ’ હોય તો આવું હોય નહીં. તું તો ડફોળ છે. શેઠે પૂછયું, ‘કોમનસેન્સ એટલે શું ?’ મેં કહ્યું, ‘કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ-થીયરીટીકલી એઝ વેલ એઝ પ્રેક્ટીકલી.’ ગમે તેવું તાળું હોય, કટાયેલું હોય કે ગમે તેવું હોય પણ કૂંચી નાખે કે તરત ઊઘડી જાય એનું નામ કોમનસેન્સ. તમારે તો તાળાં ઊઘડતાં નથી, વઢવાડો કરો છો અને તાળાં તોડો છો ! અરે, ઉપર ઘણ મોટો મારો છો ! મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતાં ના આવડ્યું તે કોમનસેન્સ ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ત્રણસો સાઠ ડિગ્રીની સંપૂર્ણ ‘કોમનસેન્સ’ ના હોય, પણ ચાલીસ ડિગ્રી, પચાસ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ? એક શુભ વિચારણા ઉપર ચઢયો હોય તો એને એ વિચારણા સાંભરે ને એ જાગ્રત થઇ જાય. શુભ વિચારણાનાં બીજ પડે, પછી એ વિચારણા ચાલુ થઇ જાય. પણ આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં જ ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે, ‘શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘેર બધું ભેળાઈ ગયું છે !’ છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. ‘શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો!’ ત્યારે શેઠે પૂછયું, ‘મારે કરવું શું ?’ મે કહ્યું, ‘વાતને સમજોને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો, નહીં તો હાર્ટ-ફેઇલ થશે.’ શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો, હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પૂંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ? (પા.૮૬)કોમનસેન્સવાળો ઘરમાં મતભેદ થવા જ ના દે. એ ‘કોમનસેન્સ’ ક્યાંથી લાવે ? એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે બેસે, ‘જ્ઞાની પુરુષ’ના ચરણોનું સેવન કરે ત્યારે ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. ‘કોમનસેન્સ’વાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે. આ મુંબઇમાં મતભેદ વગરનાં ઘર કેટલાં ? મતભેદ થાય ત્યાં ‘કોમનસેન્સ’ કેમ કહેવાય ? ઘરમાં વાઇફ કહે કે, અત્યારે દહાડો છે તો આપણે ‘ના, રાત છે’ કહીને ઝઘડા માંડીએ તો તેનો ક્યારે પાર આવે ? આપણે તેને કહીએ કે, ‘અમે તને વિનંતી કરીએ છીએ કે રાત છે, જરા બહાર તપાસ કર ને.’ તો ય એ કહે કે, ‘ના, દિવસ જ છે ત્યારે આપણે કહીએ, ‘યુ આર કરેક્ટ. મારી ભૂલ થઇ ગઇ.’ તો આપણી પ્રગતિ મંડાય, નહીં તો આનો પાર આવે તેમ નથી. આ તો ‘બાયપાસર’ (વટેમાર્ગુ) છે બધા. ‘વાઇફ’ પણ ‘બાયપાસર’ છે. રિલેટિવ, અંતે દગો સમજાય !આ બધી ‘રીલેટીવ’ સગાઇઓ છે. ‘રિયલ’ સગાઇ આમાં કોઇ છે જ નહીં. અરે, આ દેહ જ ‘રિલેટિવ’ છે ને ! આ દેહ જ દગો છે, તો એ દગાનાં સગાં કેટલાં હશે ? આ દેહને આપણે રોજ નવડાવીએ, ધોવડાવીએ તો ય પેટમાં દુઃખે તો એમ કહીએ કે રોજ તારી આટલી આટલી માવજત કરું છું તો આજે જરા શાંત રહે ને ? તો ય એ ઘડીવાર શાંત ના રહે. એ તો આબરૂ લઇ નાખે. અરે, આ બત્રીસ દાંતમાંથી એક દુઃખતો હોય ને તો ય એ બૂમો પડાવડાવે. આખું ઘર ભરાય એટલા તો આખી જિંદગીમાં દાતણ કર્યા હોય, રોજ પીંછી મારમાર કરી હોય તોય મોઢું સાફ ના થાય ! એ તો હતું તેવું ને તેવું જ પાછું. એટલે આ તો દગો છે. માટે મનુષ્ય અવતાર ને હિન્દુસ્તાનમાં જન્મ થાય, ઊંચી જ્ઞાતિમાં જન્મ થાય અને જો મોક્ષનું કામ ના કાઢી લીધું તો તું ભટકાઇ મર્યો ! જા તારું બધું જ નકામું ગયું !! કંઇક સમજવું તો પડશે ને ?!ભલે મોક્ષની જરૂર બધાને ના હોય, પણ ‘કોમનેસન્સ’ની જરૂર તો બધાને ખરી. આ તો ‘કોમનસેન્સ’ નહીં હોવાથી ઘરનું ખાઇ-પીને (પા.૮૭)અથડામણો થાય છે. બધા કંઇ કાળાં બજાર કરે છે ? છતાં ઘરના ત્રણ માણસોમાં સાંજ પડ્યે તેત્રીસ મતભેદ પડે છે. આમાં શું સુખ પડે ? પછી નફફટ થઇ જીવે. એ સ્વમાન વગરનું જીવન શું કામનું ? એમાં ય મેજિસ્ટ્રેટ સાહેબ કોર્ટમાં સાત વર્ષની સજા ઠોકીને આવ્યા હોય, પણ ઘેર પંદર-પંદર દહાડાથી કેસ ’પેંડિંગમાં’ પડ્યો હોય ! બાઇસાહેબ જોડે અબોલા હોય ! ત્યારે આપણે મેજિસ્ટ્રેટ સાહેબને પૂછીએ કે, ‘કેમ સાહેબ ?’ ત્યારે સાહેબ કહે કે, ‘બાઇ બહુ ખરાબ છે, બિલકુલ જંગલી છે.’ હવે બાઇસાહેબને પૂછીએ કે, ‘કેમ સાહેબ તો બહુ સારા માણસ છે ને ?!’ ત્યારે બાઇસાહેબ કહે, ‘જવા દો ને નામ. રોટન માણસ છે.’ હવે આવું સાંભળીએ, ત્યાંથી જ ના સમજી જઇએ કે આ બધુ પોલંપોલ છે જગત ? આમાં કરેક્ટનેસ જેવું કશું જ નથી. ‘વાઇફ’ જો શાક મોંઘા ભાવનું લાવી હોય તો શાક જોઇને અક્કર્મી તડૂકે, આટલા મોઘા ભાવનું તે શાક લવાતું હશે ? ત્યારે બાઇસાહેબ કહેશે, ‘આ તમે મારી પર એટેક કર્યો.’ એમ કહીને બાઇ ‘ડબલ એટેક’ કરે હવે આનો પાર ક્યાં આવે ? ‘વાઇફ’ જો મોંઘા ભાવનું શાક લાવી હોય તો આપણે કહીએ, ‘બહુ સારું કર્યું, મારા ધનભાગ્ય ! બાકી, મારા જેવા લોભિયાથી આટલું મોંઘું ના લવાત.’ અમે એક જણને ત્યાં ઊતરેલા. તે એનાં વાઇફ છેટેથી તણછો મારીને ચા મૂકી ગયાં. હું સમજી ગયો કે આ બેઉને કંઇક ભાંજગડ પડેલી છે. મેં બહેનને બોલાવીને પૂછયું, ‘તણછો કેમ માર્યો ?’ તો એ કહે, ‘ના, એવું કશું નથી.’ મેં એને કહ્યું, ‘તારા પેટમાં શું વાત છે એ હું સમજી ગયો છું. મારી પાસે છુપાવે છે ? તેં તણછો માર્યો તો તારો ધણી ય મનમાં સમજી ગયો કે શું હકીકત છે. આ એકલું કપટ છોડી દે છાનીમાની, જો સુખી થવું હોય તો.’ પુરુષ તો ભોળા હોય ને આ તો સ્ત્રીઓ ચાલીસ વર્ષ ઉપર પાંચ- પચ્ચીસ ગાળો દીધી હોય તો તે કહી બતાવે કે તમે તે દહાડે આમ કહેતા હતા ! માટે સાચવીને સ્ત્રી જોડે કામ કાઢી લેવા જેવું છે. સ્ત્રી તો આપણી પાસે કામ કાઢી લેશે. પણ આપણને નથી આવડતું. (પા.૮૮)સ્ત્રી સાડી લાવવાનું કહે દોઢસો રૂપિયાની, તો આપણે પચ્ચીસ વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે. સમજવું પડે, લાઇફ એટલે લાઇફ છે ! આ તો જીવન જીવવાની કળા ના હોય ને વહુ કરવા જાય ! વગર સર્ટિફિકેટે ધણી થવા ગયા, ધણી થવા માટેની લાયકાતનું ‘સર્ટિફિકેટ’ હોવું જોઇએ તો જ બાપ થવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ તો વગર અધિકારે બાપ થઇ ગયા ને પાછાં દાદા ય થાય ! આનો ક્યારે પાર આવશે ? કંઇક સમજવું જોઇએ. રિલેટિવમાં, તો સાંધવાનું !આ તો ‘રિલેટિવ’ સગાઇઓ છે. જો ‘રિયલ’ સગાઇ હોય ને, તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢીશ. પણ આ તો ‘રિલેટિવ’ ! ‘રિલેટિવ’ એટલે એક કલાક જો બઇસાહેબ જોડે જામી જાય તો બેઉને ‘ડાયવોર્સ’નો વિચાર આવી જાય, પછી એ વિચારબીજનું ઝાડ થાય. આપણે જો, ‘વાઇફ’ની જરૂર હોય તો એ ફાડફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું. તો જ આ ‘રિલેટિવ’ સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. બાપ જોડે ય ‘રીલેટીવ’ સંબધ છે. લોક તો ‘રિયલ’ સગાઇ માનીને બાપ જોડે ચઢે જક્કે. એ સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢવું ? મેર ચક્કર, એમ કરતાં, સુધરતાં તો ડોસો મરી જશે! એના કરતાં એની સેવા કર ને બિચારો વેર બાંધીને જાય એના કરતાં એને નિરાંતે મરવા દે ને ! એનાં શિંગડાં એને ભારે. કોઇને વીસ વીસ ફૂટ લાંબાં શિંગડાં હોય તેમાં આપણને શું ભાર ?! જેના હોય તેને ભાર. આપણે આપણી ફરજ બજાવવી. માટે જક્કે ના ચઢો, તરત વાતનો ઉકેલ લાવી નાખો. તેમ છતાં સામો માણસ બહુ બાઝે તો કહીએ કે, ‘હું તો પહેલેથી જ ડફોળ છું. મને તો આવું આવડતું જ નથી.’ એવું કહી દીધું એટલે પેલો આપણને છોડી દે. જે તે રસ્તે છૂટી જાઓ અને મનમાં એમ નહીં માની બેસવાનું કે બધાં ચઢી બેસશે તો શું કરીશું ? એ શું ચઢી બેસે ? ચઢી બેસવાની કોઇ શક્તિ જ ધરાવતું નથી. આ બધાં કર્મના ઉદયથી ભમરડા નાચે છે ! માટે જેમ તેમ કરીને આજનો શુક્રવાર ક્લેશ વગર કાઢી નાખો, કલ કી બાત કલ દેખ લેંગે. બીજે દહાડે કંઇક ટેટો ફૂટવાનો થયો તો ગમે તે રીતે તેને ઢાંકી દેવો, ફિર દેખ લેંગે. આમ દિવસો કાઢવા. (પા.૮૯)એ સુધરેલું ક્યાં સુધી ટકે ?!દરેક વાતમાં આપણે સામાને ‘એડજસ્ટ’ થઇ જઇએ તો કેટલું બધું સરળ થઇ જાય. આપણે જોડે શું લઇ જવાનું છે ? કોઇ કહેશે કે, ‘ભાઇ, એને સીધી કરો.’ ‘અરે, એને સીધી કરવા જઇશ તો તું વાંકો થઇ જઇશ.’ માટે ‘વાઇફ’ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને કરેક્ટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાઢું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઇ પડશે. બંનેના મરણકાળ જુદા, બંનેનાં કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો’કને ભાગે ! પ્રશ્નકર્તા : એની જોડે કર્મ બંધાયાં હોય તો બીજા અવતારમાં તો, ભેગાં તો થાય ને ? દાદાશ્રી : ભેગાં થાય, પણ બીજી રીતે ભેગાં થાય. કો’કની ઓરત થઇને આપણે ત્યાં વાતો કરવા આવે. કર્મના નિયમ ખરા ને ! આ તો ઠામ નહીં ને ઠેકાણું ય નહીં. કો’ક પુણ્યશાળી માણસ એવો હોય કે જે અમુક ભવ જોડે રહે. જુઓને નેમિનાથ ભગવાન, રાજુલ સાથે નવ ભવથી જોડે ને જોડે જ હતા ને ! એવું હોય તો વાત જુદી છે. આ તો બીજા ભવનું જ ઠેકાણું નથી. અરે, આ ભવમાં જ જતા રહે છે ને ! એને ‘ડાયવોર્સ’ કહે છે ને ? આ ભવમાં જ બે ધણી કરે, ત્રણ ધણી કરે ! એડજસ્ટ થઇએ, તો ય સુધરે !માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઇની કોઇ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂછડી વાંકી ને વાંકી જ રહે એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, ‘એડજસ્ટ એવરીવ્હેર’. ટૈડકાવાની જગ્યાએ તમે ના ટૈડકાવી તેનાથી ‘વાઇફ’ વધારે સીધી રહે. જે ગુસ્સો નથી કરતો એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઇને કોઇ દહાડો ય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે. (પા.૯૦)પ્રશ્નકર્તા : તો પછી એ સીધી થઇ જાય ? દાદાશ્રી : સીધા થવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી. પ્રશ્નકર્તા : પણ એ અઘરું બહુ છે. દાદાશ્રી : ના, ના. એ અઘરું નથી, એ જ સહેલું છે. ગાયનાં શિંગડા ગાયને ભારે. પ્રશ્નકર્તા : આપણને પણ એ મારે ને ? દાદાશ્રી : કો’ક દહાડો આપણને વાગી જાય. શિંગડું વાગવા આવે તો આપણે આમ ખસી જઇએ, તેવું અહીં પણ ખસી જવાનું ! આ તો વાંધો ક્યાં આવે છે ? મારી પૈણેલી ને મારી ‘વાઇફ’. અરે, ન્હોય ‘વાઇફ’ આ ‘હસબન્ડ’ જ નથી તો પછી ‘વાઇફ’ હોતી હશે ? આ તો અનાડીના ખેલ છે ! આર્યપ્રજા ક્યાં રહી છે અત્યારે ? સુધારવા કરતાં, સુધરવાની જરૂર !પ્રશ્નકર્તા : ‘પોતાની ભૂલ છે’ એવું સ્વીકારી લઇને પત્નીને સુધારી ના શકાય ? દાદાશ્રી : સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઇને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધાં અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય. મેં એવાય જોયેલા છે કે જે બહાર બધો સુધારો કરવા નીકળ્યા હોય છે ને ઘરમાં એમની ‘વાઇફ’ આગળ આબરૂ નથી હોતી, મધર આગળ આબરૂ નથી હોતી. આ કઇ જાતના માણસો છે ? પહેલો તું સુધર. હું સુધારું, હું સુધારું એ ખોટો ઇગોઇઝમ છે. અરે, તારું જ ઠેકાણું નથી, તે તું શું સુધારવાનો છે ?! પહેલાં પોતે ડાહ્યા થવાની જરૂર છે. ‘મહાવીર’ મહાવીર થવા માટેનો જ પ્રયત્ન કરતા હતા અને તેનો આટલો બધો પ્રભાવ પડ્યો છે ! પચ્ચીસસો વર્ષ સુધી તો એમનો પ્રભાવ જતો નથી !!! અમે કોઇને સુધારતા નથી. (પા.૯૧)શેને સુધારવાનો અધિકાર ?!તમારે સુધારવાનો અધિકાર કેટલો છે ? જેમાં ચૈતન્ય છે તેને સુધારવાનો તમને શો અધિકાર ? આ કપડું મેલું થયું હોય તો એને આપણે સાફ કરવાનો અધિકાર છે. કારણ કે ત્યાં સામેથી કોઇ જાતનું રિએકશન નથી. અને જેમાં ચૈતન્ય છે એ તો રિએકશનવાળું છે, એને તમે શું સુધારો ? આ પ્રકૃતિ પોતાની જ સુધરતી નથી ત્યાં બીજાની શું સુધરવાની ? પોતે જ ભમરડો છે. આ બધા ટોપ્સ છે. કારણ કે એ પ્રકૃતિને આધીન છે, પુરુષ થયો નથી. પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. આ તો પુરુષાર્થ જોયો જ નથી. વ્યવહાર ઉકેલવો, ‘એડજસ્ટ’ થઇને !પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઇએ ને ? દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઇએ એટલે પાડોશી ય કહે કે, ‘બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.’ એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઇ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા એડજસ્ટમેન્ટ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જશે. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. ‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તો ય તેની જોડે ‘એડજસ્ટ’ થાય, ‘જ્ઞાની પુરુષ’ને જોઇને ચાલે તો બધી જાતનાં એડજસ્ટમેન્ટ કરતાં આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઇ જાઓ, રાગદ્વેષ ના કરો. આ તો મહીં કંઇક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઇ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તો ય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઇતો હોય તો એ આનાકાની કરતો હોય તો ય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે, અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખે ને ? (પા.૯૨)‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ’. સામાને ‘સેટલમેન્ટ’ લેવા કહેવાનું. ‘તમે આમ કરો, તેમ કરો.’ એવું કહેવા માટે ટાઇમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉે’ (કાયદાઓ) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઇ ગયેલાં છે !! ઘેર જાય તો વાઇફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઇએ ને ? કોઇ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે અહોહો, આને કેટલો બધો અકળાટ હશે તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે. પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે ‘એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય તો તે જ વખતે બધે શી રીતે પહોચી વળાય ? દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તો ય લઇ શકાય. એક પૂછે, ‘મારું શું કર્યું ?’ ત્યારે કહીએ, ‘હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું. બીજાને ય એમ કહીશું.’ તમે કહેશો તેમ કરીશું ‘વ્યવસ્થિત’ની બહાર થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો. આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું મિક્ષ્ચર કરી નાખીએ એટલે પછી અસર ના રહે. ‘એડજસ્ટ એવરીવ્હેર’ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડે ય ને ખોટું કહેતો હોય તેની જોડે ય ‘એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે, ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે, ‘એ તો પહેલેથી જ નહોતી ! હમણાં કંઇ તું ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.’ આમ કહીએ એટલે ભાંજગડ મટી ને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો ‘આપણે ઘેર’ ક્યારે પહોંચાય ? (પા.૯૩)અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઇએ છીએ અને આ અથડામણ કંઇ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજસ્ટ’ થવાનું. ઘરમાં ‘લીલા’ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી ‘લીલા’ને હોટલમાં લઇ જઇને, જમાડીને ખુશ કરીએ, હવે તાંતો ના રહેવો જોઇએ. ‘એડજસ્ટમેન્ટ’ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઇ ન્યાય ના કહેવાય. કોઇ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચડે એનાથી ચડાવીએ, છેવટે ગટરનાં પાણીએ પણ ચડાવીએ !! આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘ડિસ્એડજસ્ટ’ થઇએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને ‘એડજસ્ટ’ થઇને કામ લેવું છે. પછી એને પૂછીએ કે, ‘ભઇ, તારી શી ઇચ્છા છે ? જો ભઇ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ. તેને એડજસ્ટ થઇ જઇએ’. આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે તેને કંઇ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે તમે અમારી જોડે વીતરાગ રહો ! આ ‘એડજસ્ટ એવરીવ્હેર’ નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થાય. આ કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ કરીએ તો એ ય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં; એડજસ્ટ એવરીવ્હેર. નહીં તો વ્યવહારની ગૂંચ આંતરે !પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે. પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઇ કહેવાનું જ (પા.૯૪)નથી. પણ વ્યવહારમાં ય આપની વાત ‘ટોપ’ની વાત છે. દાદાશ્રી : એવું છે ને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઇ મોક્ષે ગયેલો નહીં, ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઇ મોક્ષે ગયેલો નહીં ! કારણ કે વ્યવહાર છોડનાર છે ને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવો ને ? આ ભાઇને કહ્યું હોય કે, ‘જા, દુકાનેથી આઇસ્ક્રીમ લઇ આવ.’ પણ એ અડધેથી પાછો આવે. આપણે પૂછીએ, ‘કેમ ?’ તો એ કહે કે, ‘રસ્તામાં ગધેડું મળ્યું તેથી ! અપશુકન થયાં !!’ હવે આને આવુ ઊંધું જ્ઞાન થયું છે તે આપણે કાઢી નાખવું જોઇએ ને ? એને સમજાવવું જોઇએ કે ભઇ, ગધેડામાં ભગવાન રહેલા છે માટે અપશુકન કશું હોતું નથી. તું ગધેડાનો તિરસ્કાર કરીશ તો તે તેમાં રહેલા ભગવાનને પહોંચે છે, તેથી તને ભયંકર દોષ બેસે છે. ફરી આવું ના થાય. એવી રીતે આ ઊંધું જ્ઞાન થયું છે. તેના આધારે ‘એડજસ્ટ’ નથી થઇ શકતા. ‘કાઉન્ટરપુલી’ - એડજસ્ટમેન્ટની રીત !આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઇએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઇને ‘જ્ઞાની’ થયા છીએ. હું મારો અભિપ્રાય કોઇ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઇને દુઃખ ના હોવું જોઇએ. તારા ‘રિવોલ્યુશન’ અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે. પ્રશ્નકર્તા : ‘રિવોલ્યુશન’ એટલે શું ? દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી હોય. કશું (પા.૯૫)બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલું ય દેખાડી દે, એના બધા પર્યાયો’ એટ-એ-ટાઇમ’ દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો બારસો ‘રિવોલ્યુશન’ ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય. મહાવીરને લાખ ‘રિવોલ્યુશન’ ફરતા ! આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી ‘વાઇફ’ને સો ‘રિવોલ્યુશન’ હોય ને તમારા પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો ‘એન્જિન’ હઉ તૂટી જાય. ‘રિવોલ્યુશન’ સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એના ‘રિવોલ્યુશન’ પચાસ હોય ને તમારા પાંચસો હોય, કોઇને હજાર હોય, કોઇને બારસો હોય. જેવું જેનું ’ડેવલપમેન્ટ’ હોય તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપુલી’ એટલે તમારે વચ્ચે પટ્ટો નાંખી તમારા ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી, કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઇની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઇના આટલા જ ‘રિવોલ્યુશન’ છે. એટલે તે પ્રમાણે હું ‘કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઇએ એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્નકર્તા : કોઇ પણ, સામાના ‘લેવલ’ ઉપર આવે તો જ વાત થાય ? દાદાશ્રી : હા, એના ‘રિવોલ્યુશન’ પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં ‘રિવોલ્યુશન’ ક્યાંના ક્યાં જઇ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! ‘કાઉન્ટરપુલી’ તમને નાખતાં ના આવડે તેમાં ઓછાં ‘રિવોલ્યુશન’વાળા એંજિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે ‘કાઉન્ટરપુલી’ નાખતાં ના આવડી ! (પા.૯૬)અવળું કહેવાથી કકળાટ થયો ....પ્રશ્નકર્તા : પતિનો ભય, ભવિષ્યનો ભય, ‘એડજસ્ટમેન્ટ’ લેવા દેતો નથી. ત્યાં આગળ ‘આપણે એને સુધારનાર કોણ’ એ યાદ રહેતું નથી, ને સામાને ચેતવણી રૂપે બોલાઇ જાય છે. દાદાશ્રી : એ તો ‘વ્યવસ્થિત’નો ઉપયોગ કરે, ‘વ્યવસ્થિત’ ફીટ થઇ જાય તો કશો વાંધો આવે તેમ નથી. પછી કશું પૂછવા જેવું જ ના રહે. ધણી આવે એટલે થાળી પાટલો મૂકીને કહીએ કે, ‘ચાલો જમવા !’ એમની પ્રકૃતિ બદલાવાની નથી. જે પ્રકૃતિ આપણે જોઇને, પસંદ કરીને પૈણીને આવ્યા તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની. માટે પહેલે દહાડે શું નહોતા જાણતા આ પ્રકૃતિ આવી જ છે ? તે જ દહાડે છૂટું થઇ જવું હતું ને ! વટલાયા શું કરવા વધારે ? આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકસાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને કષાય કહ્યા. તમારાં બેની અંદર ‘પ્રોબ્લેમ’ વધે તેમ જુદું થતું જાય. ‘પ્રોબ્લેમ’ ‘સોલ્વ’ થઇ જાય પછી જુદું ના થાય. જુદઇથી દુઃખ છે. અને બધાંને ‘પ્રોબ્લેમ’ ઊભા થવાના, તમારે એકલાંને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી તેને ‘પ્રોબ્લેમ’ ઊભા થયા વગર રહે નહીં. કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. અહો ! વ્યવહાર એટલે જ ....પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે પણ વ્યવહાર તો સુધરવો જોઇએ ને ? દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કોઇ દહાડો આવડ્યો હોત, અરે અડધો કલાકે ય આવડ્યો હોત તો ય ઘણું થઇ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે ‘રિલેટિવ’ સત્ય તે. અહીંની નોટો સાચી હોય કે (પા.૯૭)ખોટી હોય, બેઉ ‘ત્યાં’ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને, અને આપણે ‘આપણું’ કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઇ કહે કે, ‘ચંદુલાલમાં અક્કલ નથી.’ તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ! આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઇને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે એનો નિશ્ચય નિશ્ચય છે. ... ને સમ્યક્ કહેવાથી કક્ળાટ શમે !પ્રશ્નકર્તા : કોઇએ જાણી જોઇને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ કયું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ? દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તો ય આપણે ‘જોયા’ કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકનું તો દવાખાનું ભેગું થયું, હવે પાછાં બે દવાખાના ઊભાં કરવાં ?! અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે, પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં. પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ? દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું. પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ? દાદાશ્રી : ‘ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?’ ત્યારે એ કહેશે કે, ‘જાણી જોઇને હું કંઇ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ને ફેંકાઇ ગયો ?’ પ્રશ્નકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ? દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આપે તો આપણે (પા.૯૮)તો ખલાસ જ થઇ જઇએ ને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, ‘ભઇ, આમાં શું તમને ફાયદો થયો ?’ તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે ! પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ? દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ ?’ સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર. બાકી, જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે. ટકોર, અહંકારપૂર્વક ન કરાય !પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઇ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. તેનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો ? દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ? દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઇએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ’ વાણી જોઇએ. ‘અનટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તો ય સીધું થઇ જશે. આ અબોલા તો બોજો વધારે !પ્રશ્નકર્તા : અબોલા લઇ વાતને ટાળવાથી એનો નિકાલ થઇ શકે ? દાદાશ્રી : ના થઇ શકે. આપણે તો સામો મળે તો કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને (પા.૯૯)‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશે ને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઇ નિકાલ થઇ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહો ને, અમારી કંઇ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.’ એમ કહીએ એટલે એ રાજી થઇ જાય. પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ? દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો’ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તે તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઇએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. નિયમ એવો છે કે વેર રાખે, મહીં પરમાણુઓ સંગ્રહી રાખે માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો. પ્રકૃતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ ....પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઇ, હવે માફી માગું છું, તો ય પેલો વધારે ચગે તો શું કરવું ? દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એને એવું કંઇક ઊંધું જ્ઞાન થઇ ગયું હોય કે-‘બહુત નમે નાદાન.’ ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોય ને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે. એ ના સમજીએ ? પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ? દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે ય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો’ક દહાડો ચીઢાશે એટલે આપણો હિસાબ પતી જશે. આપણે મૌન રાખીએ (પા.૧૦૦)એટલે કો’ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે ‘તમે બોલતા નથી, કેટલા દહાડાથી મૂંગા ફરો છો !’ આમ ચિઢાય એટલે આપણું પતી જશે, ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે, અમને બધાં ઓળખાય. કેટલાંકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઇ જાય. આ તો જાત જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે. આ બધી ધાતુ છે. સરળતાથી યે ઉકેલ આવે !પ્રશ્નકર્તા : આપણને ઘરમાં કોઇ વસ્તુનું ધ્યાન રહેતું ના હોય, ઘરનાં આપણને ધ્યાન રાખો, ધ્યાન રાખો કહેતા હોય, છતાં ના રહે તો તે વખતે શું કરવું ? દાદાશ્રી : કશું ય નહીં. ઘરનાં કે, ‘ધ્યાન રાખો, ધ્યાન રાખો.’ ત્યારે આપણે કહેવું કે, ‘હા, રાખીશું.’ આપણે ધ્યાન રાખવાનું નક્કી કરવું. તેમ છતાં ધ્યાન ના રહ્યું ને કૂતરું પેસી ગયું ત્યારે કહીએ કે, ‘મને ધ્યાન નથી રહેતું.’ એનો ઉકેલ તો લાવવો પડે ને ? અમને ય કોઇએ ધ્યાન રાખવાનું સોંપ્યું હોય તો અમે ધ્યાન રાખીએ, તેમ છતાં ના રહ્યું તો કહી દઇએ કે, ‘ભઇ, આ રહ્યું નહીં અમારાથી.’ એવું છે ને આપણે મોટી ઉંમરના છીએ એવો ખ્યાલ ના રહે તો કામ થાય. બાળક જેવી અવસ્થા હોય તો ‘સમભાવે નિકાલ’ સરસ થાય. અમે બાળક જેવા હોઇ એ. એટલે અમે જેવું હોય તેવું કહી દઇએ, આમે ય કહી દઇએ ને તેમે ય કહી દઇએ, બહુ મોટાઇ શું કરવાની ? કસોટી આવે એ પુણ્યશાળી કહેવાય ! માટે ઉકેલ લાવવો, જક ના પકડવી. આપણે આપણી મેળે આપણો દોષ કહી દેવો. નહીં તો એ કહેતાં હોય ત્યારે આપણે ખુશ થવું કે, ઓહોહો, તમે અમારો દોષ જાણી ગયા ! બહુ સારું કર્યું ! તમારી બુદ્ધિ અમે જાણીએ નહીં. .... સામાનું સમાધાન કરાવો ને !કોઇ ભૂલ હશે તો સામે કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખો (પા.૧૦૧)ને ! આ જગતમાં કોઇ જીવ કોઇને તકલીફ આપી શકે નહીં એવું સ્વતંત્ર છે, અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં. ‘લાલ વાવટો’ કોઇ ધરે તો સમજી જવું કે આમાં આપણી કંઇ ભૂલ છે. એટલે આપણે તેને પૂછવું કે, ‘ભઇ, લાલ વાવટો કેમ ધરે છે ?’ ત્યારે એ કહે કે, ‘તમે આમ કેમ કર્યું હતું ?’ ત્યારે આપણે એની માફી માગીએ ને કહીએ કે, ‘હવે તો તું લીલો વાવટો ધરીશ ને ?’ ત્યારે એ હા કહે. અમને કોઇ લાલ વાવટો ધરતું જ નથી. અમે તો બધાંના લીલા વાવટા જોઇએ ત્યાર પછી આગળ હેંડીએ. કોઇ એક જણ લાલ વાવટો નીકળતી વખતે ધરે તો એને પૂછીએ કે, ‘ભઇ તું કેમ લાલ વાવટો ધરે છે ?’ ત્યારે એ કહે કે, ‘તમે તો અમુક તારીખે જવાના હતા તે વહેલા કેમ જાવ છો ?’ ત્યારે અમે એને ખુલાસો કરીએ કે, ‘આ કામ આવી પડ્યું એટલે ના છૂટકે જવું પડે છે !’ એટલે એ સામેથી કહે કે, ‘તો તો તમે જાવ, જાવ કશો વાંધો નહીં.’ આ તો તારી જ ભૂલને લીધે લોક લાલ વાવટો ધરે છે, પણ જો તું એનો ખુલાસો કરું તો જવા દે. પણ આ તો કોઇ લાલ વાવટો ધરે એટલે અક્કરમી બૂમાબૂમ કરે, ‘જંગલી, જંગલી અક્કલ વગરનાં, લાલ વાવટો ધરે છે ?’ એમ ડફડાવે. અલ્યા, આ તો તેં નવું ઊભું કર્યું. કોઇ લાલ વાવટો ધરે છે માટે ‘ધેર ઇઝ સમથીંગ રોંગ.’ કોઇ એમને એમ લાલ વાવટો ધરે નહીં. ઝઘડા, રોજ તે કેમ પોષાય ?!દાદાશ્રી : ઘરમાં ઝઘડા થાય છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ‘માઇલ્ડ’ થાય છે કે ખરેખરા થાય છે ? પ્રશ્નકર્તા : ખરેખરા પણ થાય, પણ બીજે દિવસે ભૂલી જઇએ. દાદાશ્રી : ભૂલી ના જાવ તો કરો શું ? ભૂલી જઇએ તો જ ફરી (પા.૧૦૨)ઝઘડો થાય ને ? ભૂલ્યા ના હોઇએ તો ફરી ઝઘડો કોણ કરે ? મોટા મોટા બંગલામાં રહે છે, પાંચ જણ રહે છે, છતાં ઝઘડો કરે છે ! કુદરત ખાવાપીવાનું આપે છે ત્યારે લોક ઝઘડા કરે છે ! આ લોકો ઝઘડા, ક્લેશ- કંકાસ કરવામાં જ શૂરા છે. જ્યાં લઢવાડ છે એ ‘અંડરડેવલપ્ડ’ પ્રજા છે. સરવૈયું કાઢતાં આવડતું નથી એટલે લઢવાડ થાય છે. જેટલા મનુષ્યો છે તેટલા ધર્મ જુદા જુદા છે. પણ પોતાના ધર્મનું દેરું બાંધે કેવી રીતે ? બાકી ધર્મ તો દરેકના જુદા છે. ઉપાશ્રયમાં સામાયિક કરે તે ય દરેકની જુદી જુદી હોય. અરે, કેટલાક તો પાછળ રહ્યા રહ્યા કાંકરી માર્યા કરતા હોય, તે ય એની સામાયિક કરે ? આમાં ધર્મ રહ્યો નથી, મર્મ રહ્યો નથી. જો ધર્મે ય રહ્યો હોતને તો ઘરમાં ઝઘડા ના થાત. થાય તો તે મહિનામાં એકાદ વાર થાય. અમાસ મહિનામાં એક દહાડો જ આવે ને ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ તો ત્રીસે ય દહાડા અમાસ. ઝઘડામાં શું મળતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન મળે. દાદાશ્રી : ખોટનો વેપાર તો કોઇ કરે જ નહીં ને ? કોઇ કહેતું નથી કે ખોટનો વેપાર કરો ! કંઇક નફો કમાતા તો હશે ને ? પ્રશ્નકર્તા : ઝઘડામાં આનંદ આવતો હશે ! દાદાશ્રી : આ દુષમકાળ છે એટલે શાંતિ રહેતી નથી, તે બળેલો બીજાને બાળી મેલે ત્યારે એને શાંતિ થાય. કોઇ આનંદમાં હોય તે એને ગમે નહીં એટલે પલીતો ચાંપીને તે જાય ત્યારે એને શાંતિ થાય. આવો જગતનો સ્વભાવ છે. બાકી, જાનવરો ય વિવેકવાળાં હોય છે, એ ઝઘડતાં નથી. કૂતરાં ય છે તે પોતાના લત્તાવાળાં હોય તેમની સાથે અંદરોઅંદર ના લઢે, બહારના લત્તાવાળા આવે ત્યારે બધા ભેગાં મળીને લઢે. ત્યારે આ અક્કરમીઓ માંહ્યોમાંહ્ય લઢે છે ! આ લોકો વિવેકશૂન્ય થઇ ગયા છે ! (પા.૧૦૩)‘ઝઘડાપ્રુફ’ થઇ જવા જેવું !પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઇ દહાડો ઝઘડો જ ના કરતા હાઇએ છતાં ઘરમાં બધા ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ? દાદાશ્રી : આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઇ જવું. ‘ઝઘડાપ્રુફ’ થઇએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાપ્રૂફ’ કરી આપીશું. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવું આપણું સ્વરુપ હોવું જોઇએ. કોઇ ‘વર્લ્ડ’માં ય આપણને ‘ડિપ્રેસ’ ના કરી શકે એવું જોઇએ. આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઇ ગયા પછી ભાંજગડ જ નહીં ને ? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તો ય વાંધો નહીં. અને છતાં ય નફ્ફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે. વૈરબીજમાંથી ઝઘડા ઉદ્ભવે !પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે. પ્રશ્નકર્તા : તો એ બીજ કેવી રીતે દૂર થાય ? દાદાશ્રી : ધીમે ધીમે ‘સમભાવે નિકાલ’ કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. આપણું કશું કોઇ લઇ લેતું નથી. ખાવાનું બે ટાઇમ મળે, કપડાં મળે, પછી શું જોઇએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઇમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તો ય કઈં નહીં, આપણે સૂઇ જઇએ. પૂર્વ ભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરી ને જાય ! વેર ને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઇએ કે આ સમજણવાળું છે, તો ય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે? એટલે ત્યાં વાતને છોડી દેવી. (પા.૧૦૪)જ્ઞાન થકી, વેરબીજ છૂટે !હવે વેર બધાં છોડી નાખવાનાં. માટે કો’ક ફેરો અમારી પાસેથી ‘સ્વરૂપજ્ઞાન’ મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં, અમે તમને રસ્તો દેખાડીશું. સંસારમાં લોક કંટાળીને મોત શાથી ખોળે છે ? આ ઉપાધિઓ ગમે નહીં તેથી. વાત તો સમજવી પડશે ને ? ક્યાં સુધી મુશ્કેલીમાં પડી રહેશો ? આ તો જીવડાં જેવું જીવન થઇ ગયું છે. નર્યો તરફડાટ, તરફડાટ ને તરફડાટ! મનુષ્યમાં આવ્યા પછી તરફડાટ કેમ હોય ? જે બ્રહ્માંડનો માલિક કહેવાય તેની આ દશા ! આખું જગત તરફડાટમાં છે ને તરફડાટ ના હોય તો મૂર્છામાં હોય. આ બે સિવાય બહાર જગત નથી. અને તું જ્ઞાનઘન આત્મા થયો તો ડખો ગયો. જેવો અભિપ્રાય તેવી અસર !પ્રશ્નકર્તા : ઢોલ વાગતું હોય તો, ચિઢિયાને ચિઢ ચઢી કેમ જાય છે ? દાદાશ્રી : એ તો માન્યું કે ‘નથી ગમતું’ તેથી. આ ઢોલ વગાડતી હોય તો આપણે કહેવું કે, ‘ઓહોહો, ઢોલ બહુ સરસ વાગે છે !!’ એટલે પછી મહીં કશું ના થાય. ‘આ ખરાબ છે’ એવો અભિપ્રાય આપ્યો એટલે મહીં બધી મશીનરી બગડે. આપણે તો નાટકીય ભાષામાં કહીએ કે ‘બહુ સરસ ઢોલ વગાડ્યો.’ એટલે મહીં અડે નહીં. આ ‘જ્ઞાન’ મળ્યું છે એટલે બધું ‘પેમેન્ટ’ કરી શકાય. વિકટ સંયોગોમાં તો જ્ઞાન બહુ હિતકારી છે, જ્ઞાનનું ‘ટેસ્ટિંગ’ થઇ જાય. જ્ઞાનની રોજ ‘પ્રેક્ટિસ’ કરવા જાવ તો કશું ‘ટેસ્ટિંગ’ ના થાય. એ તો એક ફેરો વિકટ સંજોગ આવી જાય તો બધું ‘ટેસ્ટેડ’ થઇ જાય ! આ સદ્વિચારણા, કેટલી સરસ !અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઇફ’ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય (પા.૧૦૫)કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઇફ’ જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું ? એ વિચાર કરવો પડે ને ? આ લોકો તલ શેકી શેકીને વાવે છે તેથી બધી મહેનત નકામી જાય છે ઝઘડા થતા હોય ત્યારે લક્ષમાં હોવું જોઇએ કે આ કર્મો નાચ નચાવે છે. પછી એ ‘નાચ’નો જ્ઞાનપૂર્વક ઉકેલ લાવવો જોઇએ. પ્રશ્નકર્તા : દાદા, આ તો ઝઘડા કરનાર બન્ને જણાએ સમજવું જોઇએ ને ? દાદાશ્રી : ના આ તો ‘સબ સબ કી સમાલો.’ આપણે સુધરીએ તો સામેવાળો સુધરે. આ તો વિચારણા છે, ને ઘડી પછી જોડે બેસવાનું છે તો પછી કકળાટ શાને ? શાદી કરી છે તો કકળાટ શાને ? તમારે ગઇકાલનું ભુલાઇ ગયું હોય ને અમને તો બધી જ વસ્તુ ‘જ્ઞાન’માં હાજર હોય. જો કે આ તો સદ્વિચારણા છે તે ‘જ્ઞાન’ ના હોય તેને પણ કામ આવે. આ અજ્ઞાનથી માને છે કે એ ચઢી વાગશે. કોઇ અમને પૂછે તો અમે કહીએ કે, ‘તું ય ભમરડો ને એ ય ભમરડો તે શી રીતે ચઢી વાગશે ? એ કંઇ એના તાબામાં છે ?’ તે એ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. અને વાઇફ ચઢીને ક્યાં ઉપર બેસવાની છે ? તમે જરા નમતું આપો એટલે એ બિચારીના મનમાં ય ઓરિયો પૂરો થાય કે હવે ધણી મારા કાબૂમાં છે ! એટલે સંતોષ થાય એને. શંકા, એ ય વઢવાડનું કારણ !ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઇ જાય છે આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય ને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળાં થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને તો નિઃશંક થયે જ છૂટકો. માબાપની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકોના (પા.૧૦૬)સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઇએ. આ શંકા કાઢે કોણ ? આપણું ‘જ્ઞાન’ તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે ! આત્માની અનંત શક્તિઓ છે !! એવી વાણીને નભાવી લઈએ !આ ટીપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો તેને ગુનેગાર ગણે. કૂતરું આપણને મારે નહીં ને ખાલી ભસભસ કરે તો આપણે તેને ચલાવી લઇએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસભસ કરે તો નભાવી લેવું ના જોઇએ ! ભસ એટલે ‘ટુ સ્પીક.’ ‘બાર્ક’ એટલે ભસવું. ‘આ બૈરી બહુ ભસ્યા કરે છે’ એવું બોલે છે ને ? આ વકીલો ય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ? કોર્ટમાં તો સામસામી ‘તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો’ ભસે. આપણને એમ લાગે છે કે આ બેઉ બહાર નીકળીને મારંમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઇએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય ! પ્રશ્નકર્તા : એ ‘ડ્રામેટિક’ લઢ્યા કહેવાય ? દાદાશ્રી : ના. એ પોપટમસ્તી કહેવાય. ‘ડ્રામેટિક’ તો ‘જ્ઞાની પુરુષ’ સિવાય કોઇને આવડે નહીં. પોપટો મસ્તી કરે તો આપણે ગભરાઇ જઇએ કે બેઉ હમણાં મરી જશે, પણ ના મરે. એ તો અમથા અમથા ચાંચો માર્યા કરે, કોઇને વાગે નહીં એવી ચાંચો મારે. અમે વાણીને ‘રેકર્ડ કહી છે ને ? ‘રેકર્ડ’ વાગ વાગ કરતી હોય કે ‘મણિમાં અક્કલ નથી. મણિમાં અક્કલ નથી.’ ત્યારે આપણે ય ગાવા લાગવું કે ‘મણિમાં અક્કલ નથી’. મમતાના આંટા, ઉકેલાય કઇ રીતે ?આખો દહાડો કામ કરતાં કરતાં ય ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું. એક દહાડામાં છ મહિનાનું વેર કપાઇ જાય, અને અર્ધો દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઇ જાય છે ! પરણ્યા પહેલાં ધણી જોડે (પા.૧૦૭)મમતા હતી ? ના. તો મમતા ક્યારથી બંધાઇ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તે નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે આ પછી એમણે ય નક્કી કર્યું કે આ અમારાં ધણિયાણી આવ્યા. ત્યારથી ‘મારા, મારા’ના જે આંટા વાગ્યા તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની આ ફિલ્મ છે તેને ‘ન હોય મારા, ન હોય મારા.’ કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, ‘પ્રેજ્યુડિસ’ ઊભો થયો કે ‘આ આવા છે, તેવા છે.’ તે પહેલાં કંઇ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, ‘જે છે તે આ છે.’ અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કાંઇ ધણી બદલાય ? બધે જ ફસામણ ! ક્યાં જવું ?જેનો રસ્તો નથી એને શું કહેવાય ? જેનો રસ્તો ના હોય તેની કાણ-મોકાણ ના કરાય. આ ફરજિયાત જગત છે ! ઘરમાં વહુનો ક્લેશવાળો સ્વભાવ ના ગમતો હોય, મોટાભાઇનો સ્વભાવ ના ગમતો હોય, આ બાજુ બાપુજીનો સ્વભાવ ના ગમતો હોય, તેવા ટોળામાં માણસ ફસાઇ જાય તો ય રહેવું પડે. ક્યાં જાય તે ? આ ફસામણનો કંટાળો આવે, પણ જવું ક્યાં ? ચોગરદમની વાડો છે. સમાજની વાડો હોય, ‘સમાજ મને શું કહેશે ?’ સરકારની ય વાડો હોય. જો કંટાળીને જળસમાધિ લેવા જુહુના કિનારે જાય તો પોલીસવાળા પકડે. ‘અલ્યા, ભઇ મને આપઘાત કરવા દે ને નિરાંતે, મરવા દે ને નિરાંતે !’ ત્યારે એ કહે, ‘ના. મરવા ય ના દેવાય. અહીં આગળ તેં આપઘાત કરવાના પ્રયાસનો ગુનો કર્યો માટે તને જેલમાં ઘાલીએ છીએ !’ મરવા ય નથી દેતા ને જીવવા ય નથી દેતા, આનું નામ સંસાર ! માટે રહો ને નિરાંતે... અને સિગારેટ પીને સૂઇ ના રહેવું ?! આવું છે ફરજિયાત જગત ! મરવા ય ના દે ને જીવવા ય ના દે. માટે જેમ તેમ કરીને ‘એડજસ્ટ’ થઇને ટાઇમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઇનું પચ્ચીસ વર્ષનું, કોઇનું પંદર વર્ષનું, કોઇનું ત્રીસ વર્ષનું, ના છૂટકે ય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તો ય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બઇસાહેબની ને અહીં પથારી ભાઇસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઇ જાય તો ય વિચારમાં તો (પા.૧૦૮)બઇસાહેબને ભાઇસાહેબ જ આવે ને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાં ય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી, એમને ય પાછા આપણે ના ગમતા હોઇએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી. આ સંસારની ઝંઝટમાં વિચારશીલને પોષાય નહીં. જે વિચારશીલ નથી તેને તો આ ઝંઝટ છે એની ય ખબર પડતી નથી, એ જાડું ખાતું કહેવાય. જેમ કાને બહેરો માણસ હોય તેની આગળ તેની ગમે તેટલી ખાનગી વાતો કરીએ એનો શું વાંધો ? એવું અંદરે ય બહેરું હોય છે બધું એટલે એને આ જંજાળ પોષાય, બાકી જગતમાં મઝા ખોળવા માગે તે આમાં તો વળી કંઇ મઝા હોતી હશે ? પોલંપોલ, ક્યાં સુધી ઢાંકવી ?!આ તો બધું બનાવટી જગત છે ! ને ઘરમાં કકળાટ કરી, રડી અને પછી મોઢું ધોઇને બહાર નીકળે !! આપણે પૂછીએ, ‘કેમ ચંદુભાઈ ?’ ત્યારે એ કહે, ‘બહુ સારું છે.’ અલ્યા, તારી આંખમાં તો પાણી છે, મોઢું ધોઇને આવ્યો હોય. પણ આંખ તો લાલ દેખાય ને ? એના કરતાં કહી નાખ ને કે મારે ત્યાં આ દુઃખ છે. આ તો બધા એમ જાણે કે બીજાને ત્યાં દુઃખ નથી, મારે ત્યાં જ છે. ના, અલ્યા બધા જ રડ્યા છે. એકે એક ઘેરથી રડીને મોઢાં ધોઇને બહાર નીકળ્યા છે. આ ય એક અજાયબી છે ! મોઢાં ધોઇને શું કામ નીકળો છો ? ધોયા વગર નીકળો તો લોકોને ખબર પડે કે આ સંસારમાં કેટલું સુખ છે ?! હું રડતો બહાર નીકળું, તું રડતો બહાર નીકળે, બધા રડતા બહાર નીકળે એટલે ખબર પડી જાય કે આ જગત પોલું જ છે. નાની ઉંમરમાં બાપા મરી ગયા તે સ્મશાનમાં રડતા રડતા ગયા ! પાછા આવીને નહાયા એટલે કશું જ નહીં !! નહાવાનું આ લોકોએ શીખવાડેલું, નવડાવી-ધોવડાવીને ચોખ્ખો કરી આલે ! એવું આ જગત છે ! બધા મોઢાં ધોઇને બહાર નીકળેલા, બધા પાકા ઠગ. એના કરતાં ખુલ્લું કર્યું હોય તો સારું. આપણા ‘મહાત્માઓ’માંથી કોઇક જ મહાત્મા ખુલ્લું કરી દે કે, ‘દાદા, આજે તો બૈરીએ મને માર્યો !’ આટલી બધી સરળતા શેને લીધે આવી ? આપણા જ્ઞાનને લીધે આવી. ‘દાદા’ને તો બધી જ વાત કહેવાય. (પા.૧૦૯)આવી સરળતા આવી ત્યાંથી જ મોક્ષે જવાની નિશાની થઇ. આવી સરળતા હોય નહીં ને ? મોક્ષે જવા માટે સરળ જ થવાનું છે. આ બહાર તો ધણી ચીટ-ચીટ કર્યા કરે. બૈરીનો માર પોતે ખાતો હોય તો ય બહાર કહે કે, ‘ના, ના, એ તો મારી દીકરીને મારતી હતી !’ અલ્યા, મેં જાતે તને મારતાં જોયું હતું ને ? આનો શો અર્થ ? ‘મિનિંગલેસ.’ એના કરતાં સાચેસાચું કહી દે ને ! આત્માને ક્યાં મારવાનું છે ? આપણે આત્મા છીએ, મારશે તો દેહને મારશે. આપણા આત્માનું તો કોઇ અપમાને ય કરી ના શકે. કારણ કે ‘આપણને’ એ દેખે તો અપમાન કરે ને ? દેખ્યા વગર શી રીતે અપમાન કરે ? દેહને તો આ ભેંસ નથી મારી જતી ? ત્યાં નથી કહેતા કે આ ભેંસે મને મારી ? આ ભેંસ કરતાં ઘરનાં બઇ મોટાં નહીં ? એમાં શું ? શેની આબરૂ જવાની છે ? આબરૂ છે જ ક્યાં તે ? આ જગતમાં કેટલા જીવો રહે છે ? કોઇ લૂગડાં પહેરે છે ? આબરૂવાળા કપડાં પહેરે જ નહીં. જેને આબરૂ નહીં તે કપડાં પહેરી આબરૂ ઢાંક ઢાંક કરે, જંયાથી ફાટે ત્યાંથી સાંધ સાંધ કરે. કોઇ જોઇ જશે, કોઇ જોઇ જશે ! અલ્યા, સાંધી સાંધીને કેટલા દહાડા આબરૂ રાખીશ ? સાંધેલી આબરૂ રહે નહીં. આબરૂ તો જ્યાં નીતિ છે, પ્રમાણિકતા છે, દયા છે, લાગણી છે, ‘ઓબ્લાઇઝિંગ નેચર’ છે, ત્યાં છે. .... આમ ફસામણ વધતી ગઈ !આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઇ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઇ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે? એમ કરીને બેઉ પરણ્યાં, ને સહકારી મંડળી કાઢી. પછી છોકરાં ય થવાનાં. એક દૂધીનું બી વાવ્યુ, પછી દૂધિયાં બેસ્યા કરે કે ના બેસ્યા કરે ? વેલાને પાંદડે પાંદડે દૂધિયાં બેસે, એવું આ માણસો પણ દૂધિયાંની પેઠ બેસ્યા કરે છે. દૂધી એમ નથી બોલતી કે મારાં દૂધિયાં છે. આ મનુષ્યો એકલા જ બોલે કે આ મારાં દૂધિયાં છે. આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો, બુદ્ધિ ઉપર નિર્ભર રહી તેથી મનુષ્ય જાતિ નિરાશ્રિત કહેવાઇ. બીજા કોઇ જીવ બુદ્ધિ પર નિર્ભર નથી. એટલે એ બધાં આશ્રિત કહેવાય, આશ્રિતને દુઃખ ના હોય. આમને જ દુઃખ બધું હોય ! આ વિકલ્પી સુખો માટે ભટક ભટક કરે છે, પણ બૈરી સામી થાય (પા.૧૧૦)ત્યારે એ સુખની ખબર પડે કે આ સંસાર ભોગવવા જેવો નથી. પણ આ તો તરત જ મૂર્છિત થઇ જાય ! મોહનો આટલો બધો માર ખાય છે, તેનું ભાન પણ રહેતું નથી. બીબી રીસાયેલી હોય ત્યાં સુધી ‘યા અલ્લાહ પરવર દિગાર’ કરે અને બીબી બોલવા આવી એટલે મિયાંભાઇ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ !! એમ કાંઇ દુઃખ મટી જવાનાં છે ? ઘડીવાર તું અલ્લાહ પાસે જાય તો કંઇ દુઃખ મટી જાય ? જેટલો વખત ત્યાં રહું એટલો વખત મહીં સળગતું બંધ થઇ જાય જરા, પણ પછી પાછી કાયમની સગડી સળગ્યા જ કરવાની. નિરંતર પ્રગટ અગ્નિ કહેવાય, ઘડીવાર પણ શાતા ના હોય ! જ્યાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત ના થાય, પોતાની દ્રષ્ટિમાં ‘હું શુદ્ધ સ્વરૂપ છું.’ એવું ભાન ના થાય ત્યાં સુધી સગડી સળગ્યા જ કરવાની. લગ્નમાં પણ દીકરી પરણાવતા હોય તો ય મહીં સળગ્યા કરતું હોય ! નિરંતર બળાપો રહે ! સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય ! .... એને તો ‘લટકતી સલામ’ !આમાં સુખ નથી એ સમજવું તો પડશે ને ? ભાઇઓ અપમાન કરે, બઇસાહેબ પણ અપમાન કરે, છોકરાં અપમાન કરે ! આ તો બધો નાટકીય વ્યવહાર છે, બાકી આમાંથી કોઇ સાથે ઓછા આવવાના છે ? તમે પોતે શુદ્ધાત્મા ને આ બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફલુઅસ’ કરવાનો છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટ’માં રહેવું અને ‘ફોરેન’માં ‘સુપરફલુઅસ’ રહેવું. ‘સુપરફલુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક’ તે. ખાલી આ ‘ડ્રામા’ જ ભજવવાનો છે. ‘ડ્રામા’માં ખોટ ગઇ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા’માં દેખાવ પણ કરવો પડે, ખોટ ગઇ હોય તો તેવો દેખાવ કરવો પડે ! મોઢે બોલીએ ખરાં કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઇએ. (પા.૧૧૧)આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણા નથી કહેતા કે ભઇ, મારે તો આની જોડે ‘લટકતી સલામ ’ જેવો સંબંધ છે ? ! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઇ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ !’ અમે નિરંતર બધા જોડે ‘લટકતી સલામ’ રાખીએ છીએ તો ય બધા કહે કે, ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર બધાં ય કરું છું પણ આત્મામાં રહીને. પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઇ જાય છે તો શું કરવું ? દાદાશ્રી : ડાહ્યો માણસ હોય ને તો લાખ રુપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઇલ ચાલીને અનાર્ય ક્ષેત્રમાં જવું પડેલું, ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠા અનાર્ય ક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો. કલાકનો ગુનો, દંડ જિંદગી આખી !એક કલાક નોકરને, છોકરાને કે બઇ ને ટૈડકાવ ટૈડકાવ કર્યાં હોય તો પછી એ ધણી થઇને કે સાસુ થઇ ને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઇએ કે ના જોઇએ ? આ ભોગવવાનું છે. તમે કોઇને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે ‘વહુ મને આમ કેમ કરે છે ?’ વહુને એમ થાય કે ‘આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?’ એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !’ ત્યારે એ કહે કે, ‘હું ખોળી લાવ્યા હતો.’ ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઇ આવ્યા પછી અવળું નીકળે, એમા તે શું કરે ? ક્યાં જાય પછી ? કેટલીક સ્ત્રી તો પતિને મારે હઉ. પતિવ્રતા સ્ત્રીને તો આવું સાંભળતાં જ પાપ લાગે કે આવું બૈરી ધણીને મારે ! (પા.૧૧૨)પ્રશ્નકર્તા : જો પુરુષ માર ખાય તો તે બાયલો કહેવાય ને ? દાદાશ્રી : એવું છે, માર ખાવો એ કાંઇ પુરુષની નબળાઇ નથી. પણ એના આ ઋણાનુબંધ એવા હોય છે, બૈરી દુઃખ દેવા માટે જ આવેલી હોય છે તે હિસાબ ચૂકવે જ. ગાંડો અહંકાર, તો વઢવાડ કરાવે !સંસારમાં વઢવાની વાત જ ના કરવી, એ તો રોગ કહેવાય. વઢવું એ અહંકાર છે, ખુલ્લો અહંકાર છે, એ ગાંડો અહંકાર કહેવાય, મનમાં એમ માને કે ‘મારા વગર ચાલશે નહીં.’ કોઇને વઢવામાં તો આપણને ઊલટો બોજો લાગે, નર્યું માથું પાકી જાય. વઢવાનો કોઇને શોખ હોય ખરો ? ઘરમાં સામા પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?’ તો બઇ જવાબ આપે કે, ‘ફલાણી જગ્યાએ મૂકો.’ તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને અક્કલ નથી, ક્યાં મૂકવાનું તું કહે છે ? એટલે બઇ કહે કે, ‘તમારી અક્કલથી મૂકો.’ હવે આનો ક્યાં પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો તે સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઇ ! એવી વાણી બોલવા જેવી નહીં !ઘરમાં કોઇને કાંઇ કહેવું એ મોટામાં મોટો અહંકારનો રોગ છે. પોતપોતાનો હિસાબ લઇને જ આવ્યા છે બધાં ! સહુ સહુની દાઢી ઊગે છે, આપણે કોઇને કહેવું નથી પડતું કે દાઢી કેમ ઉગાડતો નથી ? એ તો એને ઊગે જ. સહુ સહુની આંખે જુએ છે, સહુ સહુના કાને સાંભળે છે ! આ ડખો કરવાની શી જરૂરત છે ? એક અક્ષર પણ બોલશો નહીં. એટલા માટે અમે આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપીએ છીએ. અવ્યવસ્થિત ક્યારેય પણ થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ ‘વ્યવસ્થિત’ (પા.૧૧૩)જ છે એટલે વાત જ સમજવાની છે. કો’ક ફેરો પતંગ ગુલાંટ ખાય ત્યારે દોરો ખેંચી લેવાનો છે. દોરો હવે આપણા હાથમાં છે. જેના હાથમાં દોરી નથી એની પતંગ ગુલાંટ ખાય, તે શું થાય ? દોરી હાથમાં છે નહીં ને બૂમાબૂમ કરે છે કે મારી પતંગે ગુલાંટ ખાધી ! ઘરમાં અક્ષરે ય બોલ બોલવાનું બંધ કરો. ‘જ્ઞાની’ સિવાય કોઇથી બોલ બોલાય નહીં. કારણ કે ‘જ્ઞાની’ની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય, બીજાઓની ઇચ્છાને આધારે એ બોલે છે. એમને શા માટે બોલવું પડે ? એમની વાણી તો બીજાઓની ઇચ્છા પૂર્ણ થવા માટે નીકળે છે. અને બીજા બોલે તે પહેલાં તો બધાંનું મહીં હાલી જાય, ભયંકર પાપ લાગે, સહેજે બોલાય નહીં. સહેજ પણ બોલો તો તેને કચકચ કહેવાય. બોલ તો કોનું નામ કહેવાય કે સાંભળ સાંભળ કરવાનું મન થાય, વઢે તો ય એ સાંભળવાનું ગમે. આ તો જરાક બોલે તે પહેલાં જ છોકરાં કહે કે, ‘કાકા, હવે કચકચ કરવાની રહેવા દો. વગર કામના ડખો કરો છો.’ વઢેલું ક્યારે કામનું ? પૂર્વગ્રહ ના હોય તો. પૂર્વગ્રહ એટલે મનમાં યાદ હોય જ કે ગઇકાલે આણે આમ કર્યું હતું ને આમ વઢયો હતો, તે આ આવો જ છે. ઘરમાં વઢે એને ભગવાને મૂર્ખ કહ્યો છે. કોઇને દુઃખ આપીએ તો ય નર્કે જવાની નિશાની છે. સંસાર નભાવવાના સંસ્કાર - ક્યાં ?!મનુષ્ય સિવાય બીજા કોઇ ધણીપણું નથી બજાવતા. અરે આજ-કાલ તો ‘ડાયવોર્સ’ લે છે ને ? વકીલને કહે કે, ‘‘તને હજાર, બે હજાર રૂપિયા આપીશ, મને ‘ડાયવોર્સ’ અપાવી દે.’’ તે વકીલે ય કહેશે કે, ‘હા, અપાવી દઇશ.’ અલ્યા, તું લઇ લે ને ‘ડાયવોર્સ’. બીજાને શું અપાવવા નીકળ્યા છો ? પહેલાંના વખતનાં એક ડોશીમાની વાત છે. તે કાકાની સરવણી કરતાં હતાં. ‘તારા કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું.’ એમ કરી કરીને ખાટલામાં વસ્તુઓ મૂકતાં હતા. મેં તેમને કહ્યું, ‘કાકી ! તમે તો કાકા જોડે રોજ લઢતાં હતાં. કાકા ય તમને ઘણી વાર મારતા હતા. તો આ શું ?’ ત્યારે કાકી કહે, ‘પણ તારા કાકા જેવા ધણી મને ફરી નહીં (પા.૧૧૪)મલે !’ આ આપણા હિંદુસ્તાનના સંસ્કાર ! ધણી કોને કહેવાય ? સંસારને નભાવે તેને. પત્ની કોને કહેવાય ? સંસારને નભાવે તેને. સંસારને તોડી નાખે એને પત્ની કે ધણી કેમ કહેવાય ? એણે તો એના ગુણધર્મ જ ખોઇ નાખ્યા કહેવાય ને ? ‘વાઇફ’ પર રીસ ચઢે તો આ માટલી ઓછી ફેંકી દેવાય? કેટલાક કપ-રકાબી ફેંકી દે ને પછી નવા લઇ આવે ! અલ્યા, નવા લાવવા હતા તો ફોડ્યા શું કામ ? ક્રોધમાં અંધ બની જાય તે હિતાહિતનું ભાન પણ ગુમાવી દે . આ લોક તો ધણી થઇ બેઠા છે. ધણી તો એવો હોવો જોઇએ કે બઇ આખો દહાડો ધણીનું મોઢું જોયા કરે. પ્રશ્નકર્તા : પરણ્યા પહેલાં બહુ જુએ છે. દાદાશ્રી : એ તો જાળ નાખે છે. માછલું એમ જાણે કે આ બહુ સારા દયાળુ માણસ છે તે મારું કામ થઇ ગયું. પણ એક વખત ખાઇ તો જો, કાંટો પેસી જશે. આ તો ફસામણવાળું છે બધું ! આમાં પ્રેમ જેવું ક્યાં રહ્યું ?ઘરના જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષયાસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં એટલો બધો હતો કે ધણી પરદેશ ગયો હોય ને તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઇ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય. પ્રેમ એટલે લગની લાગે તે અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઇ વખત આબાદીમાં જાય તો કોઇ (પા.૧૧૫)વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઉભરાય તે પાછો બેસી જાય. જે ઉભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઉભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઇએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઇ જાય તો ય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે ‘જરા ધોવડાવો.’ તો ધણી કહેશે કે, ‘ના મારાથી નથી જોવાતું !’ અલ્યા, તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો, ને આજે કેમ આમ ? આ ઘૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઇએ કે જે એકદમ ઓછો ના થઇ જાય કે એકદમ વધી પણ ના જાય. ‘નોર્માલિટીમાં હોવો જોઇએ.’ જ્ઞાનીનો પ્રેમ તો ક્યારે પણ વધઘટ ના થાય. એ પ્રેમ તો જુદો જ હોય, એને પરમાત્મપ્રેમ કહેવાય. નોર્માલિટી, શીખવા જેવી !પ્રશ્નકર્તા : વ્યવહારમાં ‘નોર્માલિટી’ની ઓળખાણ શું ? દાદાશ્રી : બધા કહેતા હોય કે ‘તું મોડી ઊઠે છે. મોડી ઊઠે છે.’ તો આપણે ના સમજી જઇએ કે આ ‘નોર્માલિટી’ ખોવાઇ ગઇ છે ? રાત્રે અઢી વાગે ઊઠીને તું ફરફર કરે તો બધા ના કહે કે, ‘આટલા બધા વહેલા શું ઊઠો છો ? આ પણ ‘નોર્માલિટી’ ખોઇ નાખી કહેવાય. ‘નોર્માલિટી’ તો બધાંને ‘એડજેસ્ટ’ થઇ જાય એવી છે. ખાવામાં પણ ‘નોર્માલિટી’ જોઇએ, જો પેટમાં વધારે નાખ્યું હોય તો ઊંઘ આવ્યા કરે. અમારી ખાવાપીવાની બધી જ ‘નોર્માલિટી’ જોજો. સૂવાની, ઊઠવાની બધી જ અમારી ‘નોર્માલિટી’ હોય. જમવા બેસીએ ને થાળીમાં પાછળથી બીજી મીઠાઇ મૂકી જાય તો હું હવે આમાંથી થોડુંક લઉં ,હું પ્રમાણફેર થવા ના દઉં. હું જાણું કે આ બીજું આવ્યું માટે શાક કાઢી નાખો. તમારે આટલું બધું કરવાની જરુર નહીં. તમારે તો મોડું ઉઠાતું હોય તો બોલ બોલ કરવું કે આ ‘નોર્માલિટી’માં નથી રહેવાતું. એટલે આપણે તો મહીં પોતાને જ ટકોર મારવી કે ‘વહેલું ઊઠવું જોઇએ.’ તે ટકોર ફાયદો કરશે. આને જ પુરુષાર્થ કહ્યો છે. રાત્રે ગોખ ગોખ કરે કે ‘વહેલું ઊઠવું છે, વહેલું ઊઠવું છે.’ મારી મચકોડીને વહેલા ઊઠવાનો પ્રયત્ન કરે, એનાથી તો મગજ બગડશે. (પા.૧૧૬)... શક્તિઓ કેટલી ડાઉન ગઈ !પ્રશ્નકર્તા : ‘પતિ એ જ પરમાત્મા છે’ એ શું ખોટું છે ? દાદાશ્રી : આજના પતિઓને પરમાત્મા માને તો એ ગાંડા થઇને ફરે એવા છે ! એક ધણી એની બૈરીને કહે, ‘તારા માથા ઉપર દેવતા મૂક ને તેના પર રોટલી શેક !’ મૂળ તો બંદર છાપ ને ઉપરથી દારુ પિવડાવે તો એની શી દશા થાય ? પુરુષ તો કેવો હોય ? એવા તેજસ્વી પુરુષો હોય કે જેનાથી હજારો સ્ત્રીઓ થથરે ! આમ જોતાંની સાથે જ ધ્રૂજી જાય !! આજ તો ધણી એવા થઇ ગયા છે કે સલિયો પોતાની બૈરીનો હાથ ઝાલે તો તેને વિનંતી કરે, ‘અરે સલિયા છોડી દે. મેરી બીબી હૈ, બીબી હૈ.’ મેર ચક્કર, આમાં સલિયાને તું વિનંતી કરે છે ? કઇ જાતનો ચક્કર પાક્યો છે તું ? એ તો એને માર, એનું ગળચું પકડ ને બચકું ભર. આમ એના પગે લાગ્યો એ કાંઈ છોડી દે એવી જાત નથી. ત્યારે એ ‘પોલીસ, પોલીસ, બચાવો બચાવો’ કરે. અલ્યા, તું ધણી થઇને ‘પોલીસ, પોલીસ’ શું કરે છે ? પોલીસને શું તોપને બારે ચઢાવવો છે ? તું જીવતો છે કે મરેલો છે ? પોલીસની મદદ લેવાની હોય તો તું ધણી ના થઇશ. ઘરનો ધણી ‘હાફ રાઉન્ડ’ ચાલે જ નહીં, એ તો ‘ઓલ રાઉન્ડ’ જોઇએ. કલમ, કડછી, બરછી, તરવું, તાંતરવું ને તસ્કરવું-આ છએ. છ કળા નથી આવડતી તો એ માણસ નથી. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે ‘એડજસ્ટ’ થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે ચાલે નહીં. જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે તેને આ જગતમાં બધું જ મળે એવું છે, પણ આ વિશ્વાસ જ નથી આવતો ને ! કેટલાકને તો એ ય વિશ્વાસ ઊડી ગયો હોય છે કે ‘આ વાઇફ જોડે રહેશે કે નહીં રહે ? પાંચ વરસ નભશે કે નહીં નભે ?’ ‘અલ્યા, આ પણ વિશ્વાસ નહીં ? વિશ્વાસ તૂટ્યો એટલે ખલાસ. વિશ્વાસમાં તો અનંત શક્તિ છે, ભલે ને (પા.૧૧૭)અજ્ઞાનતામાં વિશ્વાસ હોય. ‘મારું શું થશે’ થયું કે ખલાસ ! આ કાળમાં લોક બગવાઇ ગયેલા હોય ને દોડતો દોડતો આવતો હોય ને તેને પૂછીએ કે ‘તારું નામ શું છે ?’ તો એ બગવાઇ જાય ! વાંક પ્રમાણે વાંકું મળે !પ્રશ્નકર્તા : હું ‘વાઇફ’ જોડે બહુ ‘એડજસ્ટ’ થવા જાઉં છું, પણ થવાતું નથી. દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું ‘કાઉન્ટર વેઇટ’ છે. જેટલો આપણો વાંક એટલી વાંકી. એટલે તો બધું ‘વ્યવસ્થિત’ છે એવું કહ્યું છે ને ? પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે. દાદાશ્રી : તે સીધા કરવા જ જોઇએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધા થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. શક્તિઓ ખીલવનાર જોઇએ !એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં એ તો આત્મા જ છે, ફકત ખોખાંનો ફેર છે. ‘ડિફરન્સ ઓફ પેકીંગ !’ સ્ત્રી એ એક જાતની ‘ઇફેક્ટ’ છે, તે આત્મા પર સ્ત્રીની ‘ઇફેક્ટ’ વર્તે. આની ‘ઇફેક્ટ’ આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી રીતે સ્ત્રીઓ રાજનીતિમાં થઇ ગઇ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ?! આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગત કલ્યાણની શક્તિ ભરી પડી છે. તેનામાં પોતાનું કલ્યાણ કરી લઇ ને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે. પ્રતિક્રમણથી, હિસાબ બધા છૂટે !પ્રશ્નકર્તા : કેટલાંક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ? (પા.૧૧૮)દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઇએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરુર છે ? આપણે એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો. પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઇ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ? દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એકસેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર આપણી સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે. પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ? દાદાશ્રી : હા, જરુર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે ‘ભઇ, ફોન આવ્યો તારો.’ આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી. પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ? દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છે ને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં, ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જન્મ્યા છે, જોડે રહે છે તે કો’ક દહાડો આ મોક્ષ માર્ગ ઉપર આવે. (પા.૧૧૯)... તો સંસાર આથમે !જેને ‘એડજસ્ટ’ થવાની કળા આવડી એ દુનિયામાથી મોક્ષ તરફ વળ્યો. ‘એડજસ્ટમેન્ટ’ થયું એનું નામ જ્ઞાન. જે ‘એડજસ્ટમેન્ટ’ શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ ‘એડજસ્ટમેન્ટ’ આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઇ જાય. સુવાળાં જોડે તો સહુ કોઇ ‘એડજસ્ટ’ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે ‘એડજસ્ટ’ થતાં આવડ્યું તો કામ થઇ ગયું. મુખ્ય વસ્તુ ‘એડજસ્ટમેન્ટ’ છે. ‘હા’ થી મુક્તિ છે. આપણે ‘હા’ કહ્યું તો પણ ‘વ્યવસ્થિત’ની બહાર કાંઈ થવાનું છે ? પણ ‘ના’ કહ્યું તો મહા ઉપાધિ ! ઘરનાં ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે ‘એડજસ્ટ’ થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો ‘આપણે’ ‘એડજસ્ટ’ થઇ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો તો, પણ તે બીજાને ન્હોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી ‘એડજસ્ટ’ કર્યું ! એવું ‘એડજસ્ટ’ થઇએ તો ઉકેલ આવે. મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નહીં, છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઇએ ને ઓઢીને સૂઇ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ? સંસાર એ ઝઘડાનું સંગ્રહસ્થાન છે. કોઇને ત્યાં બે આની, કોઇને ત્યાં ચાર આની ને કોઇને ત્યાં સવા રૂપિયા સુધી પહોંચી જાય છે ! અહીં ઘેર ‘એડજસ્ટ’ થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનના શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલ ને પૂળો અહીંથી, પહેલું ‘આ’ શીખને. ઘરમાં ‘એડજસ્ટ’ થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! એટલે કામ કાઢી લેવા જેવું છે. ‘જ્ઞાની’ છોડાવે, સંસારજંજાળથી !પ્રશ્નકર્તા : આ સંસારનાં બધાં ખાતાં ખોટવાળાં લાગે છે, છતાં કોઇ વખત નફાવાળા કેમ લાગે છે ? (પા.૧૨૦)દાદાશ્રી : જે ખોટવાળાં લાગે છે તેમાંથી કોઇક વખત જે નફાવાળો લાગે છે તે બાદ કરી નાખવું. આ સંસાર બીજા કશાથી થયેલો નથી, ગુણાકાર જ થયેલા છે. હું જે રકમ તમને દેખાડું તેનાથી ભાગાકાર કરી નાખશો એટલે કશું બાકી નહીં રહે. ભણ્યા તો ભણ્યા, નહીં તો ‘દાદાની આજ્ઞા મારે પાળવી જ છે, સંસારનો ભાગાકાર કરવો જ છે.’- એવું નક્કી કર્યું કે ત્યાંથી ભાગ્યું જ ! બાકી આ દહાડા શી રીતે કાઢવા એ ય મૂશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, ‘મારા હાર્ટમાં દુઃખે છે.’ છોકરાં આવે ને કહેશે કે, ‘હું નાપાસ થયો.’ ધણીને ‘હાર્ટ’માં દુઃખે છે એવું એને કહે. એને વિચાર આવે કે ‘હાર્ટ ફેઈલ’ થઈ જશે તો શું થશે ! બધા જ વિચારો ફરી વળે, જંપવા ના દે. ‘જ્ઞાની પુરુષ’ આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે, અને આપણને લાગે કે આપણે આ ઊપાધિમાંથી છૂટ્યા ! એવી ભાવનાથી છોડાવનાર મળે જ !આ બધી પરસત્તા છે. ખાઓ છો, પીઓ છો, છોકરાં પરણાવો છો એ બધી પરસત્તા છે. આપણી સત્તા નથી. આ બધા કષાયો મહીં બેઠા છે. એમની સત્તા છે. ‘જ્ઞાની પુરુષ’ ‘હું કોણ છું ?’ એનું જ્ઞાન આપે ત્યારે આ કષાયોથી, આ જંજાળમાથી છુટકારો થાય. આ સંસાર છોડ્યો કે ધક્કો માર્યે છૂટે એવો નથી, માટે એવી કંઇક ભાવના કરો કે આ સંસારમાંથી છુટાય તો સારું. અનંત અવતારથી છૂટવાની ભાવના થયેલી, પણ માર્ગનો ભોમિયો જોઇએ કે ના જોઇએ ? માર્ગ દેખાડનાર ‘જ્ઞાની પુરુષ’ જોઇએ. આ ચીકણી પટી શરીર પર ચોંટાડી હોય તો તેને ઉખાડીએ તો પણ એ ઊખડે નહીં, વાળને સાથે ખેંચીને ઊખડે તેમ આ સંસાર ચીકણો છે. ‘જ્ઞાની પુરુષ’ દવા દેખાડે તો એ ઊખડે. આ સંસાર છોડ્યે છૂટે એવો નથી. જેણે સંસાર છોડ્યો છે, ત્યાગ લીધો છે એ એનાં કર્મના ઉદયે છોડાવ્યો છે. સહુસહુને તેના ઉદયકર્મના આધારે ત્યાગધર્મ કે ગૃહસ્થીધર્મ મળ્યો હોય. સમકિત પ્રાપ્ત થાય ત્યારથી સિદ્ધદશા પ્રાપ્ત થાય. (પા.૧૨૧)આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ, માન, માયા, લોભ, કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! ‘પોતે કોણ છે’ એનું ભાન થાય ત્યારે કષાયો જાય. ક્રોધ થાય ત્યારે પસ્તાવો થાય, પણ ભગવાને કહેલું પ્રતિક્રમણ આવડે નહીં તો શું વળે ? પ્રતિક્રમણ આવડે તો છુટકારો થાય. આ કષાયો જંપીને ઘડી વાર બેસવા ના દે. છોકરો પરણાવતી વખતે મોહ ફરી વળેલો હોય ! ત્યારે મૂર્છા હોય. બાકી કાળજું તો આખો દહાડો ચાની પેઠે ઊકળતું હોય! તો ય મનમાં થાય કે ‘હું’ તો જેઠાણી છું ને ! આ તો વ્યવહાર છે, નાટક ભજવવાનું છે. આ દેહ છૂટ્યો એટલે બીજે નાટક ભજવવાનું. આ સગાઈઓ સાચી નથી, આ તો સંસારી ઋણાનુબંધ છે. હિસાબ પૂરો થઇ ગયા પછી છોકરો માબાપની જોડે ના જાય. ‘આણે મારું અપમાન કર્યું !’ મેલ ને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે ત્યારે યાદ આવવું જોઇએ કે આ તો મારાં જ કર્મનો ઉદય છે અને ધણી તો નિમિત્ત છે, નિર્દોષ છે. અને મારા કર્મના ઉદય ફરે ત્યારે ધણી ‘આવો, આવો’ કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે ‘મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું.’ એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઇ જાય. ભગવાનના ઉપરી થયેલા બધા ફાવેલા અને બૈરીના ઉપરી થયેલા બધા માર ખાઇને મરી ગયેલા. ઉપરી થાય તો માર ખાય. પણ ભગવાન શું કહે છે ? મારા ઉપરી થાય તો અમે ખુશ થઇએ. અમે તો બહુ દહાડા ઉપરીપણું ભોગવ્યું, હવે તમે અમારા ઉપરી થાઓ તો સારું. ‘જ્ઞાની પુરુષ’ જે સમજણ આપે તે સમજણથી છુટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઇએ. ‘વાઇફ’ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઇ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી ‘વાઇફ’ પણ ક્યારેય ના મળે !! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા !!! (પા.૧૨૨)[6] ધંધો, ધર્મસમેત !જીવન શેને માટે વપરાયાં !દાદાશ્રી : આ ધંધો શેને માટે કરો છો ? પ્રશ્નકર્તા : પૈસા કમાવવા. દાદાશ્રી : પૈસા શેને માટે ? પ્રશ્નકર્તા : એની ખબર નથી. દાદાશ્રી : આ કોના જેવી વાત છે ? માણસ આખો દહાડો એન્જિન ચલાવ ચલાવ કરે, પણ શેને માટે ? કંઇ નહીં. એન્જિનનો પટ્ટો ના આપે તેના જેવું છે. જીવન શેને માટે જીવવાનું છે ? ખાલી કમાવવા માટે જ ? જીવ માત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવવાનું છે. ... વિચારણા કરવાની, ચિંતા નહીં !પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું છે. વધારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે. તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે !! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરાં બધાં જ પાર્ટનર્સ ને ? (પા.૧૨૩)પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં. દાદાશ્રી : તમે તમારાં બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો. પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી? દાદાશ્રી : જેમ બુધ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુધ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરુર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તે ‘નોર્માલિટી’ની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજે. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મયાકાર થઇને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય, એ બહુ નુકસાન કરે. ચૂકવવાની દાનતમાં ચોખ્ખાં રહો !પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઇ ગયું છે. દાદાશ્રી : w બજારની ખોટ કંઇ કરિયાણાની દુકાન કાઢયે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ના વળે, ‘કોન્ટ્રાક્ટ’ની ખોટ કંઇ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય. આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઇ જીવને કિંચિત્ માત્ર દુઃખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે કરવું છે, તે જો ચોખ્ખી દાનત હોય તો દેવું બધું જ મોડું વહેલું ચૂકતે થઇ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. માટે કોઇની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઇએ, આપણી લક્ષ્મી કોઇની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવો જોઇએ કે મારે પાઇ એ પાઇ ચૂકવી દેવી છે, ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. ખેલ ખેલો પણ ખેલાડી ના (પા.૧૨૪)થઇ જશો, ખેલાડી થઇ ગયા કે તમે ખલાસ ! ...જોખમ જાણી, નિર્ભય રહેવું !દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે ! એટલે આપણે કહેવું. ‘હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવો ને.’ આ નફા-ખોટ એ મચ્છર કહેવાય. કાયદો કેવો રાખવો ? બનતા સુધી દરિયામાં ઊતરવું નહીં ! પણ ઊતરવાનો પ્રસંગ આવી ગયો તો પછી ડરીશ નહીં. જ્યાં સુધી ડરીશ નહીં ત્યાં સુધી અલ્લાહ તેરે પાસ. તે ડર્યો કે અલ્લાહ કહેશે જા ઓલિયાની પાસે ! ભગવાનને ત્યાં રેસકોર્સ કે કાપડની દુકાનમાં ફેર નથી, પણ તમારે જો મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઊતરશો. આ દરિયામાં પેઠા પછી નીકળી જવું સારું. અમે ધંધો કેવી રીતે કરીએ એ ખબર છે ? ધંધાની સ્ટીમરને દરિયામાં તરતી મૂકતા પહેલાં પૂજાવિધિ કરાવીને સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ, ‘તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી.’ પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે ‘એડજસ્ટમેન્ટ’ લઇ લઇએ કે છ મહિના તો ચાલ્યું ! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુધ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય. ઘરાકીના પણ નિયમ છે !પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને ? દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઇમ ખોલવી. લોકો સાત વાગ્યે ખોલતા હોય ને આપણે સાડા નવ વાગ્યે ખોલીએ તે ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઇ જાય ત્યારે તમે ય સૂઇ જાઓ. રાતે બે (પા.૧૨૫)વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરે એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધે છે. પ્રશ્નકર્તા : દાદા, હમણાં દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું ? દાદાશ્રી : આ ‘ઇલેક્ટ્રિસિટી’ જાય એટલે તમે ‘ઇલેક્ટ્રિસિટી ક્યારે આવે, ક્યારે આવે’, એમ કરો તો જલદી આવે ? ત્યાં તમે શું કરો છો? પ્રશ્નકર્તા : એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઇએ. દાદાશ્રી : સો વાર ફોન ના કરો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ લાઇટ ગઇ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને ? પ્રશ્નકર્તા : એટલે આપણે નિઃસ્પૃહ થવું ? દાદાશ્રી : નિઃસ્પૃહ થવું એ ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. લાઇટ આવે તો સારું એટલું આપણે રાખવું, સસ્પૃહ-નિઃસ્પૃહ રહેવાનું કહ્યું છે. ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઉધામા ના નાખવા. ‘રેગ્યુલારિટી’ અને ભાવ ના બગાડવો, એ ‘રિલેટિવ’ પુરુષાર્થ છે. ઘરાક ના આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઘરાકનાં ઝોલેઝોલાં આવે ત્યારે બધાંને સંતોષ આપવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરોને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઇએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને ઘેર બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઇને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ તો રાખો ને ! આ તો ઘરાક આવે તો શાંતિથી પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ (પા.૧૨૬)જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, ‘આજે ખર્ચો માથે પડશે. આટલી નુકસાની ગઇ’ એ ચક્કર ચલાવે, ચિડાય અને નોકરને ટૈડકાવે ય ખરો. આમ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યા કરે ! ઘરાક આવે છે તે ય ‘વ્યવસ્થિત’ના હિસાબથી જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો ? ના, ત્યાં તો દબાઇ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભાં થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે. પ્રામાણિકતા, ભગવાનનું લાયસન્સ !પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ એમ? દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યુ તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાની મુશ્કેલીઓમાંથી તો છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ તો ભગવાનનું મોટું ‘લાયસન્સ’ છે, એનું કોઇ નામ ના દે. તમને એ ‘લાયસન્સ’ ફાડી નાખવાનો વિચાર થાય છે ? ... નફા-ખોટે, હર્ષ-શોક શો ?ધંધામાં મન બગડે તો ય નફો ૬૬,૬૧૬ થશે ને મન ના બગડે તો ય નફો ૬૬,૬૧૬ રહેશે, તો કયો ધંધો કરવો ? અમારે મોટા ધંધા ચાલે, પણ ધંધાનો કાગળ ‘અમારી’ ઉપર ના આવે. કારણ કે ધંધાનો નફો ધંધા ખાતે અને ધંધાની ખોટ પણ ધંધા ખાતે જ અમે નાખીએ. ઘરમાં તો હું નોકરી કરતો હોઊં ને જે પગાર મળે તેટલા જ પૈસા પેસવા દેવાના. બાકીનો નફો તે ધંધાનો ને ખોટ તે ય ધંધા ખાતે. નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થયા એટલે હાશ કર્યું ને, તો જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી. કારણ કે ‘ટેમ્પરરી’ છે. (પા.૧૨૭)ધંધામાં હિતાહિત !ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તે જનાવરમાં ચાર પગમાં જઇશ. ચારપગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે. પ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઇએ ? દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંત ઊંઘ આવે, આપણે જ્યારે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં. વ્યાજનો વાંધો ?!પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં વ્યાજ લેવાનો નિષેધ નથી ને ? દાદાશ્રી : આપણાં શાસ્ત્રોએ વ્યાજનો વાંધો ઉઠાવ્યો નથી, પણ વ્યાજખાઉ થયો તે નુકસાનકારક છે. સામાને દુઃખ ના થાય ત્યાં સુધી વ્યાજ લેવામાં વાંધો નથી. કરકસર, તો ‘નોબલ’ રાખવી !ઘરમાં કરકસર કેવી જોઇએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઇએ. કરકસર રસોડામાં પેસવી ના જોઇએ, ઉદાર કરકસર હોવી જોઇએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઇ મહેમાન આવે તો ય મન બગડી જાય કે ચોખા વપરાઇ જશે ! કોઇ બહુ લાફો હોય તેને અમે કહીએ કે ‘નોબલ’ કરકસર કરો. (પા.૧૨૮)[7] ઉપરીનો વ્યવહાર !‘અન્ડરહેન્ડ’ની તો રક્ષા કરવાની !પ્રશ્નકર્તા : દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે. દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના શેઠિયા તે વહુને હઉ છેતરે. પણ છેવટે નનામી કાઢે છે ત્યારે તો એ જ છેતરાય છે. હિન્દુસ્તાનના શેઠિયાઓ નોકરનું તેલ કાઢ કાઢ કરે, જંપીને ખાવા ય ના દે, નોકરના પગાર કાપી લે. પેલા ઇન્કમટેક્ષવાળા કાપી લે, ત્યારે ત્યાં સીધા થાય, પણ આજ તો ઇન્કમટેક્ષવાળાનું ય આ લોકો કાપી લે છે ! જગત તો પ્યાદાને, ‘અન્ડરહેન્ડ’ને ટૈડકાવે એવું છે. અલ્યા, સાહેબને ટૈડકાવને, ત્યાં આપણું જીતેલું કામનું ! જગતનો આવો વ્યવહાર છે. જ્યારે ભગવાને એક જ વ્યવહાર કહ્યો હતો કે તારા ‘અન્ડર’માં જે આવ્યા તેમનું રક્ષણ કરજે. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ કરે તે ભગવાન થયેલા. હું નાનો હતો ત્યારથી જ ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ કરતો. અત્યારે અહીં કોઇ નોકર ચાની ટ્રે લઇને આવે ને તે પડી જાય એટલે શેઠ એને ટૈડકાવે કે ‘તારા હાથ ભાંગલા છે. દેખાતું નથી ?’ હવે એ તો નોકર રહ્યો બિચારો. ખરેખર નોકર કોઇ દહાડો કશું તોડે નહીં, એ તો ‘રોંગ બીલિફ’થી એમ લાગે છે કે નોકરે તોડ્યો. ખરેખર તોડનારો બીજો છે. હવે ત્યાં બિનગુનેગારને ગુનેગાર ઠરાવે છે, નોકર પછી એનું ફળ આપે છે, કોઇપણ અવતારમાં. પ્રશ્નકર્તા : તો એ વખતે તોડનાર કોણ હોઇ શકે ? દાદાશ્રી : એ અમે ‘જ્ઞાન’ આપીએ છીએ તે વખતે બધા ખુલાસા (પા.૧૨૯)આપી દઇએ છીએ, આ તોડનાર કોણ ? ચલાવનાર કોણ એ બધું જ ‘સોલ્વ’ કરી આપીએ છીએ. હવે ત્યાં ખરી રીતે શું કરવું જોઇએ? ભ્રાંતિમાં ય શું અવલંબન લેવું જોઇએ ? નોકર તો ‘સિન્સીયર’ છે, એ તોડે એવો નથી. પ્રશ્નકર્તા : ગમે તેટલો ‘સિન્સીયર’ હોય પણ નોકરના હાથે તૂટી ગયું તો પરોક્ષ રીતે એ જવાબદાર નહીં ? દાદાશ્રી : ખરો, જવાબદાર ! પણ આપણે કેટલો જવાબદાર છે તે જાણવું જોઇએ. આપણે પહેલામાં પહેલું તેને પૂછવું જોઇએ કે, ‘તું દાઝયો તો નથી ને ?’ દાઝયો હોય તો દવા ચોપડવી. પછી ધીમે રહીને કહેવું કે ઉતાવળે ના ચાલીશ હવેથી. સત્તાનો દુરૂપયોગ, તો...આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ અવતાર ન આવે. એક કલાક જ જો આપણી સત્તામાં આવેલા માણસને ટૈડકાવીએ તો આખી જિંદગીનું આયુષ્ય બંધાઇ જાય. સામાવળિયાને ટૈડકાવે તો જુદું છે. પ્રશ્નકર્તા : સામો વાંકો હોય તો જેવા સાથે તેવા ના થવું ? દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે ના જોવું જોઇએ, એ એની જવાબદારી છે, જો બહારવટિયા સામે આવે ને તમે બહારવટિયા થાઓ તો ખરું, પણ ત્યાં તો બધું આપી દો છો ને ? નબળા સામે સબળ થાઓ તેમાં શું ? સબળ થઇને નબળા સામે નબળા થાઓ તો ખરું. આ ઓફિસરો ઘેર બૈરી જોડે લઢીને આવે ને ઓફિસમાં ‘આસિસ્ટન્ટ’નું તેલ કાઢે ! અલ્યા, ‘આસિસ્ટન્ટ’ તો ખોટી સહી કરાવીને લઈ જશે તો તારી શી વલે થશે ? ‘આસિસ્ટન્ટ’ની તો ખાસ જરૂર. અમે ‘આસિસ્ટન્ટ’ને બહુ સાચવીએ. કારણ કે એના લીધે તો આપણું ચાલે છે. કેટલાક તો સર્વિસમાં શેઠને આગળ લાવવા પોતાને ડાહ્યા દેખાડે. શેઠ કહે ૨૦ ટકા લેજે. ત્યારે શેઠ આગળ ડાહ્યા દેખાવા ૨૫ ટકા લે. આ શા હારુ પાપનાં પોટલાં બાંધે છે ! (પા.૧૩૦)[8] કુદરતને ત્યાં ‘ગેસ્ટ’ !કુદરત, જન્મથી જ હિતકારી !આ સંસારમાં જે જીવમાત્ર છે તે કુદરતના ‘ગેસ્ટ’ છે, દરેક ચીજ કુદરત તમને તમારી પાસે તૈયાર કરીને આપે છે. આ તો તમને કઢાપો-અજંપો, કઢાપો-અજંપો રહ્યા કરે છે. કારણ કે આ સમજણ નથી, અને એવું લાગે છે કે ‘હું કરું છું.’ આ ભ્રાંતિ છે. બાકી કોઇથી આટલું ય થઇ શકતું નથી. અહીં જન્મ થતા પહેલાં, આપણે બહાર આવવાના થયા તે પહેલાં લોકો બધી જ તૈયારીઓ કરી રાખે છે ? ભગવાનની સવારી આવી રહી છે ! જન્મતા પહેલાં બાળકને ચિંતા કરવી પડે છે કે બહાર નીકળ્યા પછી મારા દૂધનું શું થશે ? એ તો દૂધની કૂંડીઓ બધુંજ તૈયાર હોય છે ! ડોક્ટરો, દાયણો ય તૈયાર હોય, અને દાયણ ના હોય તો છેવટે વાળંદાણી ય હોય છે. પણ કંઇકની કંઇક તૈયારી તો હોય જ, પછી જેવા ‘ગેસ્ટ’ હોય ! ‘ફર્સ્ટ કલાસ’નાં હોય તેની તૈયારી જુદી, ‘સેકન્ડ કલાસ’ની જુદી અને ‘થર્ડ કલાસ’ની જુદી, બધા ‘કલાસ’તો ખરા ને ? એટલે બધી જ તૈયારીઓ સાથે તમે આવ્યા છો, તો પછી હાય-અજંપો શાના હારુ કરો છો ? જેના ‘ગેસ્ટ’ હોઇએ ત્યાં આગળ વિનય કેવો હોવો જોઇએ ? હું તમારે ત્યાં ગેસ્ટ થયો તો મારે ‘ગેસ્ટ’ તરીકેનો વિનય ના રાખવો જોઇએ ? તમે કહો કે ‘તમારે અહીં નથી સૂવાનું, ત્યાં સૂવાનું છે.’ તો મારે ત્યાં સૂઇ જવું જોઇએ. બે વાગે જમવાનું આવે તો ય શાંતિથી જમી લેવું જોઇએ. જે મૂકે તે નિરાંતે જમી લેવું પડે, ત્યાં બૂમ પડાય નહીં. કારણ કે ‘ગેસ્ટ’ છું. તે હવે ‘ગેસ્ટ’ રસોડામાં જઇને કઢી હલાવવા જાય તો કેવું (પા.૧૩૧)કહેવાય ? ઘરમાં ડખો કરવા જાય તો તમને કોણ ઊભું રાખે ? તને બાસુંદી થાળીમાં મૂકે તો તે ખાઇ લેજે. ત્યાં એમ ના કહેતો કે ‘અમે ગળ્યું નથી ખાતા.’ જેટલુ પીરસે એટલું નિરાંતે ખાજે, ખારું પીરસે તો ખારું ખાજે. બહુ ના ભાવે તો થોડું ખાજે, પણ ખાજે ! ‘ગેસ્ટ’ના બધા કાયદા પાળજે. ‘ગેસ્ટ’ને રાગદ્વેષ કરવાના ના હોય ‘ગેસ્ટ’ રાગદ્વેષ કરી શકે ? એ તો વિનયમાં જ રહે ને ? અમે તો ‘ગેસ્ટ’ તરીકે જ રહીએ, અમારે બધી જ ચીજ-વસ્તુ આવે. જેને ત્યાં ‘ગેસ્ટ’ તરીકે રહ્યાં હોઇએ તેને હેરાન નહીં કરવાનાં. અમારે બધી જ ચીજ ઘેર બેઠાં આવે, સંભારતાં જ આવે અને ન આવે તો અમને વાંધો ય નથી. કારણ કે ત્યાં ‘ગેસ્ટ’ થયા છીએ. કોને ત્યાં ? કુદરતને ઘેર ! કુદરતની મરજી ના હોય તો આપણે જાણીએ કે આપણા હિતમાં છે અને મરજી એની હોય તો ય આપણા હિતમાં છે. આપણા હાથમાં કરવાની સત્તા હોય તો એક બાજુ દાઢી ઊગે ને એક બાજુ ના ઊગે તો આપણે શું કરીએ ? આપણા હાથમાં કરવાનું હોત તો બધું ગોટાળિયું જ થાત. આ તો કુદરતના હાથમાં છે. એની ક્યાંય ભૂલ નથી હોતી, બધું જ પધ્ધતિસરનું હોય. જુઓ ચાવવાના દાંત જુદા, છોલવાના દાંત જુદા, ખાણિયા દાંત જુદા. જુઓ, કેવી સરસ ગોઠવણી છે ! જન્મતાં જ આખું શરીર મળે છે, હાથ, પગ, નાક, કાન, આંખો બધું જ મળે, પણ મોઢામાં હાથ નાખો તો દાંત ના મળેલા હોય ત્યારે કંઇ ભૂલ થઇ ગઇ હશે કુદરતની ? ના, કુદરત જાણે કે જન્મીને તરત એને દૂધ પીવાનું છે, બીજો ખોરાક પચે નહીં, માનું દૂધ પીવાનું છે તો દાંત આપીશું તો એ બચકું ભરી લેશે ! જુઓ કેવી સુંદર ગોઠવણી કરેલી છે ! જેમ જેમ જરૂર પડે તેમ દાંત આવે છે. પહેલાં ચાર આવે પછી ધીમે ધીમે બીજા આવે, અને આ ઘૈડિયાને દાંત પડી જાય તો પાછા ના આવે ! કુદરત બધી જ રીતે રક્ષણ કરે છે, રાજાની પેઠે રાખે છે. પણ અક્કરમીને રહેતાં નથી આવડતું તે શું થાય ? પણ ડખલામણથી દુઃખ વહોર્યાં !રાત્રે હાંડવો પેટમાં નાખીને સૂઇ જાય છે ને ? પછી નસકોરાં (પા.૧૩૨)ઘરડ-ઘરડ બોલાવે છે ! મેર ચક્કર, મહીં તપાસ કરને શું ચાલે છે તે ! ત્યારે કહે કે, ‘એમાં મી કાય કરું ?’ અને કુદરતનું કેવું છે ? પેટમાં પાચક રસ, ‘બાઇલ’ પડે છે, બીજું પડે છે, સવારે ‘બ્લડ’ ‘બ્લડ’ની જગ્યાએ, ‘યુરિન’ ‘યુરિન’ની જગ્યાએ, ‘સંડાસ’ ‘સંડાસ’ના ઠેકાણે પહોંચી જાય છે. કેવી પદ્ધતિસરની સુંદર વ્યવસ્થા કરેલી છે ! કુદરત કેવડું મોટું અંદર કામ કરે છે ! જો ડોક્ટરને એક દહાડો આ અંદરનું પચાવવાનું સોંપ્યું હોય તો એ માણસને મારી નાખે ! અંદરનું પાચકરસ નાખવાનું, ‘બાઇલ’ નાખવાનું, બધું ડૉક્ટરને સોંપ્યું હોય તો ડૉક્ટર શું કરે ? ભૂખ નથી લાગતી માટે આજે જરા પાચક રસો વધારે નાખવા દો. હવે કુદરતનો નિયમ કેવો છે કે પાચક રસો ઠેઠ મરતાં સુધી પહોંચી વળે એવા પ્રમાણથી નાખે છે. હવે આ તે દહાડે, રવિવારને દહાડે પાચક રસ વધારે નાખી દે એટલે બુધવારે મહીં બિલકુલ પચે જ નહીં ! બુધવારનું પ્રમાણે ય રવિવારે નાખી દીધું ! કુદરતના હાથમાં કેવી સરસ બાજી છે ! અને એક તમારા હાથમાં ધંધો આવ્યો, અને તે ય ધંધો તમારા હાથમાં તો નથી જ. તમે ખાલી માની બેઠા છો કે હું ધંધો કરું છું, તે ખોટી હાયવોય, હાયવોય કરો છો ! દાદરથી સેન્ટ્રલ ટેક્સીમાં જવાનું થયું તે મનમાં અથડાશે-અથડાશે કરીને ભડકી મરે. અલ્યા, કોઇ બાપોય અથડાવાનો નથી, તું તારી મેળે આગળ જોઇને ચાલ. તારી ફરજ કેટલી ? તારે આગળ જોઇને ચાલવાનું એટલું જ. ખરી રીતે તો તે ય તારી ફરજ નથી. કુદરત તારી પાસે એ પણ કરાવડાવે છે. પણ આગળ જોતો નથી ને ડખો કરે છે. કુદરત તો એવી સરસ છે ! આ અંદર આટલું મોટું કારખાનું ચાલે છે તો બહાર નહીં ચાલે ? બહાર તો કશું ચલાવવાનું છે જ નહીં. શું ચલાવવાનું છે ? પ્રશ્નકર્તા : કોઇ જીવ ઊંધું કરે તો તે ય એના હાથમાં સત્તા નથી ? દાદાશ્રી : ના, સત્તા નથી, પણ ઊંધું થાય એવું ય નથી, પણ એણે અવળા-સવળા ભાવ કર્યા તેથી આ ઊંધું થઇ ગયું. પોતે કુદરતના આ સંચાલનમાં ડખો કર્યો છે, નહીં તો આ કાગડા, કૂતરાં આ જનાવરો કેવાં ? દવાખાનું ના જોઇએ, કોર્ટો ના જોઇએ, એ લોકો ઝઘડા કેવા પતાવી દે (પા.૧૩૩)છે ? બે આખલાઓ લઢે, ખૂબ લઢે, પણ પછી છૂટ્યા પછી એ કંઈ કોર્ટ ખોળવા જાય છે ? બીજે દહાડે જોઇએ તો નિરાંતે બંને ફરતા હોય ! અને આ અક્કરમીઓને કોર્ટો હોય, દવાખાનાં હોય તો ય એ દુઃખી, દુઃખી ને દુઃખી ! આ લોક રોજ રોદણાં રડતાં હોય. આમને અક્કરમી કહેવાય કે સક્કરમી કહેવાય ? આ ચકલો, કાબર, કૂતરાં બધાં કેવાં રૂપાળાં દેખાય છે ! એ કંઈ શિયાળામાં વસાણું ખાતાં હશે ? અને આ અક્કરમી વસાણું ખાઇને ય રૂપાળા દેખાતા નથી, કદરૂપા દેખાય છે, આ અહંકાર ને લઇને રૂપાળો માણસે ય કદરૂપો દેખાય છે. માટે કંઇક ભૂલ રહે છે, એવો વિચાર નહીં કરવાનો ? ... તો ય કુદરત, સદા મદદે રહી !પ્રશ્નકર્તા : શુભ રસ્તે જવાના વિચારો આવે છે પણ તે ટકતા નથી ને પાછા અશુભ વિચારો આવે છે, તે શું છે ? દાદાશ્રી : વિચાર શું છે ? આગળ જવું હોય તો ય વિચાર કામ કરે છે ને પાછળ જવું હોય તો ય વિચાર કામ કરે છે. ખુદા તરફ જવાના રસ્તાએ આગળ જાઓ છો ને પાછા વળો છો, એના જેવું થાય છે. એક માઇલ આગળ જાઓ ને એક માઇલ પાછળ જાઓ, એક માઇલ આગળ જાઓ ને પાછા વાળો.... વિચાર એક જ જાતના રાખવા સારા. પાછળ જવું એટલે પાછળ જવું ને આગળ જવું એટલે આગળ જવું. આગળ જવું હોય તેને ય કુદરત ‘હેલ્પ’ કરે છે ને પાછળ જવું હોય તેને ય કુદરત ‘હેલ્પ’ કરે છે. ‘નેચર’ શું કહે છે ? ‘આઇ વિલ હેલ્પ યુ.’ તારે જે કામ કરવું હોય, ચોરી કરવી હોય તો ‘આઇ વિલ હેલ્પ યુ.’ કુદરતની તો બહુ મોટી ‘હેલ્પ’ છે, કુદરતની ‘હેલ્પ’થી તો આ બધું ચાલે છે ! પણ તું નક્કી નથી કરતો કે મારે શું કરવું છે ? જો તું નક્કી કરે તો કુદરત તને ‘હેલ્પ’ આપવા તૈયાર જ છે. ‘ફર્સ્ટ ડિસાઇડ’ કે મારે આટલું કરવું છે, પછી તે નિશ્ચયપૂર્વક સવારના પહોરમાં યાદ કરવું જોઇએ. તમારા નિશ્ચયને તમારે ‘સિન્સીયર’ રહેવું જોઇએ, તો કુદરત તમારી તરફેણમાં ‘હેલ્પ’ કરશે. તમે કુદરતના ‘ગેસ્ટ’ છો. એટલે વાતને સમજો. કુદરત તો ‘આઇ વિલ હેલ્પ યુ’ કહે છે. (પા.૧૩૪)ભગવાન કંઇ તમને ‘હેલ્પ’ કરતા નથી. ભગવાન નવરા નથી. આ તો કુદરતની બધી રચના છે અને તે ભગવાનની ખાલી હાજરીથી જ રચાયેલું છે. પ્રશ્નકર્તા : આપણે કુદરતના ‘ગેસ્ટ’ કે ‘પાર્ટ ઓફ નેચર’ છીએ ? દાદાશ્રી : ‘પાર્ટ ઓફ નેચર’ પણ ખરા અને ‘ગેસ્ટ’ પણ ખરા. આપણે પણ ‘ગેસ્ટ’ તરીકે રહેવાનું પસંદ કરીએ છીએ. ગમે ત્યાં બેસશો તો ય તમને હવા મળી રહેશે, પાણી મળી રહેશે. અને તે ય ‘ફ્રી ઓફ કોસ્ટ’ ! જે વધારે કિંમતી છે તે ‘ફ્રી ઓફ કોસ્ટ’ મળી રહે છે. કુદરતને જેની કિંમત છે તેની આ મનુષ્યોને કિંમત નથી. અને જેની કુદરતની પાસે કિંમત નથી, (જેમ કે હીરા) તેની આપણા લોકોને બહુ કિંમત છે. (પા.૧૩૫)[9] મનુષ્યપણાની કિંમત !કિંમત તો, સિન્સીયારિટી ને મોરાલિટીની !આખા જગતનું ‘બેઝમેન્ટ’, ‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી’ બે જ છે, એ બે સડી જાય તો બધું પડી જાય. આ કાળમાં ‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી’ હોય એ તો બહુ મોટામાં મોટું ધન કહેવાય. હિન્દુસ્તાનમાં એ ઢગલે ઢગલા હતું, પણ હવે આ લોકોએ એ બધું ફોરેનમાં એક્સપોર્ટ કરી દીધું, અને ‘ફોરેન’થી બદલામાં શું ‘ઇમ્પોર્ટ’ કર્યું તે તમે જાણો છો ? તે આ ‘એટિકેટ’ના ભૂતાં પેઠાં ! એને લીધે આ બિચારાંને જંપ નથી રહેતો. આપણે એ ‘એટિકેટ’ના ભૂતની શી જરૂર છે ? જેનામાં નૂર નથી તેના માટે એ છે આપણે તો તીર્થંકરી નૂરના લોક છીએ, ઋષિમુનિઓનાં સંતાન છીએ ! તારું ફાટેલું લૂગડું હોય તો ય તારું નૂર તને કહી આપશે કે ‘તું કોણ છે ?’ પ્રશ્નકર્તા : ‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી’નો ‘એકઝેક્ટ’ અર્થ સમજાવો. દાદાશ્રી : ‘મોરાલિટી’નો અર્થ શું ? પોતાના હક્કનું અને સહજે મળી આવે તે બધું જ ભોગવવાની છૂટ. આ છેલ્લામાં છેલ્લો ‘મોરાલિટી’નો અર્થ છે. ‘મોરાલિટી’ તો બહુ ગૂઢ છે, એના તો શાસ્ત્રોનાં શાસ્ત્રો લખાય. પણ આ છેલ્લા અર્થ પરથી તમે સમજી જાઓ. અને ‘સિન્સીયારિટી’ તો જે માણસ પારકાને ‘સિન્સીયર’ રહેતો નથી તે પોતાની જાતને ‘સિન્સીયર’ રહેતો નથી. કોઇને સ્હેજ પણ ‘ઇનસિન્સીયર’ ના થવું જોઇએ, એનાથી પોતાની ‘સિન્સીયારિટી’ તૂટે છે. (પા.૧૩૬)‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી’ - આ બે વસ્તુઓ આ કાળમાં હોય તો બહુ થઇ ગયું. અરે, એક હોય તો ય તે ઠેઠ મોક્ષે લઇ જાય ! પણ તેને પકડી લેવુ જોઇએ, અને ‘જ્ઞાની પુરુષ’ પાસે જ્યારે જ્યારે અડચણ પડે ત્યારે આવીને ખુલાસા કરી જવા જોઇએ કે આ ‘મોરાલિટી’ છે યા આ ‘મોરાલિટી’ નથી. ‘જ્ઞાની પુરુષ’નો રાજીપો અને ‘સિન્સીયારિટી’ આ બેના ગુણાકારથી તમામ કામ સફળ થાય તેમ છે ! ‘ઈનસિન્સીયારિટી’થી ય મોક્ષ !કોઇ વીસ ટકા ‘સિન્સીયારિટી’ અને એંસી ટકા ‘ઇનસિન્સીયારિટી’ વાળો મારી પાસે આવે ને પૂછે કે, ‘મારે મોક્ષે જવું છે ને મારામાં તો આ માલ છે તો શું કરવું?’ ત્યારે હું એને કહું કે સો ટકા ‘ઇનસિન્સીયર’ થઇ જા, પછી હું તને બીજું દેખાડું કે જે તને મોક્ષે લઇ જશે. આ એંશી ટકાનું દેવું એ ક્યારે ભરપાઇ કરી રહે ? એના કરતાં એક વાર નાદારી કાઢ. ‘જ્ઞાની પુરુષ’નું એક જ વાક્ય પકડે તો ય તે મોક્ષે જાય. આખા ‘વર્લ્ડ’ જોડે ‘ઇનસિન્સીયર’ રહ્યો હશે તેનો મને વાંધો નથી, પણ એક અહીં ‘સિન્સીયર’ રહ્યો તો તે તને મોક્ષે લઇ જશે ! સો ટકા ‘ઇનસિન્સીયારિટી’ એ પણ એક મોટો ગુણ છે, એ મોક્ષે લઇ જાય. કારણ કે ભગવાનનો સંપૂર્ણ વિરોધી થઇ ગયો. ભગવાનના વિરોધીને તેડી જવા વિના ભગવાનના બાપને ય છૂટકો નથી ! કાં તો ભગવાનનો ભક્ત મોક્ષે જાય કે કાં તો ભગવાનનો સંપૂર્ણ વિરોધી મોક્ષે જાય !! એટલે હું નાદારને તો દેખાડું કે સો ટકા ‘ઇનસિન્સીયર’ થઇ જા, પછી હું તને બીજું દેખાડું જે તને ઠેઠ લઇ જશે. બીજું પકડાવું તો જ કામ થાય, ખાલી ‘ઇનસિન્સીયર’ થઇ ગયો તો તો ના જિવાય ! (પા.૧૩૭)[10] આદર્શ વ્યવહારઅંતે, વ્યવહાર આદર્શ જોઈશે !આદર્શ વ્યવહાર સિવાય કોઇ મોક્ષે ગયો નથી. જૈન વ્યવહાર એ આદર્શ વ્યવહાર નથી. વૈષ્ણવ વ્યવહાર એ આદર્શ વ્યવહાર નથી. મોક્ષે જવા આદર્શ વ્યવહાર જોઇશે. આદર્શ વ્યવહાર એટલે કોઇ જીવને કિંચિત્ માત્ર દુઃખ ના થાય તે. ઘરના, બહારના, આડોશી-પડોશી કોઇને પણ આપણા થકી દુઃખ ના થાય તે આદર્શ વ્યવહાર કહેવાય. જૈન વ્યવહારનો અભિનિવેશ કરવા જેવો નથી. વૈષ્ણવ વ્યવહારનો અભિનિવેશ કરવા જેવો નથી. બધો અભિનિવેશ વ્યવહાર છે. ભગવાન મહાવીરનો આદર્શ વ્યવહાર હોય. આદર્શ વ્યવહાર હોય એટલે દુશ્મનને પણ ખૂંચે નહીં. આદર્શ વ્યવહાર એટલે મોક્ષે જવાની નિશાની. જૈન કે વૈષ્ણવ ગચ્છમાંથી મોક્ષ નથી. અમારી આજ્ઞાઓ તમને આદર્શ વ્યવહાર તરફ લઇ જાય છે, એ સંપૂર્ણ સમાધિમાં રખાવે તેવી છે, આધિ, વ્યાધિ, ઉપાધિમાં સમાધિ રહે તેવું છે. બહાર બધો ‘રિલેટિવ’ વ્યવહાર છે અને આ તો ‘સાયન્સ’ છે. ‘સાયન્સ’ એટલે ‘રિયલ’ ! આદર્શ વ્યવહારથી આપણાથી કોઇને ય દુઃખ ના થાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઇને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું, આપણાથી કંઇ એની ભાષામાં ના જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડ-દેવડ વગેરેમાં વ્યવહાર છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા, કોઇને ય દુઃખ ના થવું જોઇએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું તેનું નામ આદર્શ વ્યવહાર ! (પા.૧૩૮)અમારો આદર્શ વ્યવહાર હોય. અમારા થકી કોઇને ય અડચણ થઇ હોય એવું બને નહીં. કોઇના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. અમને કોઇ અડચણ આપે ને અમે પણ અડચણ આપીએ તો અમારામાં ને તમારામાં ફેર શો ? અમે સરળ હોઇએ, સામાને ઓટીમાં ઘાલીને સરળ હોઇએ. તે સામો જાણે કે ‘દાદા, હજી કાચા છે.’ હા, કાચા થઇને છૂટી જવું સારું, પણ પાકાં થઇને એની જેલમાં જવું ખોટું. એવું તે કરાતું હશે ? અમને અમારા ભાગીદારે કહ્યું કે, ‘તમે બહુ ભોળા છો.’ ત્યારે મેં કહ્યું કે, ‘મને ભોળો કહેનાર જ ભોળો છે.’ ત્યારે તેમણે કહ્યું કે ‘તમને બહુ જણ છેતરી જાય છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘અમે જાણી બૂઝીને છેતરાઇએ છીએ.’ અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર હોય જેના વ્યવહારમાં કોઇ પણ કચાશ હશે તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય. પ્રશ્નકર્તા : જ્ઞાનીના વ્યવહારમાં બે વ્યક્તિ વચ્ચે ભેદ હોય ખરો ? દાદાશ્રી : એમની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, વીતરાગતા હોય. એમના વ્યવહારમાં ભેદ હોય. એક મિલમાલિક ને તેનો ડ્રાયવર અહીં આવે તો શેઠને સામે બેસાડું ને ડ્રાયવરને મારી જોડે બેસાડું, એટલે શેઠનો પારો ઊતરી જાય ! અને વડા પ્રધાન આવે તો હું ઊઠીને એમનો આવકાર કરું ને એમને બેસાડું, એમનો વ્યવહાર ના ચૂકાય. એમને તો વિનયપૂર્વક ઊંચે બેસાડું, અને એમને જો મારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું હોય તો મારી સામે નીચે બેસાડું, નહીં તો ઊંચે બેસાડું. લોકમાન્યને વ્યવહાર કહ્યો અને મોક્ષમાન્યને નિશ્ચય કહ્યો, માટે લોકમાન્ય વહેવારને તે રૂપે ‘એક્સેપ્ટ’ કરવો પડે. અમે ઊઠીને એમને ના બોલાવીએ તો તેમને દુઃખ થાય, તેની જોખમદારી અમારી કહેવાય. પ્રશ્નકર્તા : મોટા હોય તેને પૂજ્ય ગણાય ખરું. દાદાશ્રી : મોટા એટલે ઉંમરમાં મોટા એવું નહીં, છતાં માજી મોટાં હોય તો એમનો વિનય રખાય અને જ્ઞાનવૃદ્ધ થયાં હોય તેમને પૂજ્ય ગણાય. (પા.૧૩૯)સત્સંગમાંથી અમે ઘેર ટાઇમસર જઇએ. જો રાત્રે બાર વાગે બારણું ખખડાવીએ તો એ કેવું દેખાય ? ઘરનાં મોઢે બોલે, ‘ગમે ત્યારે આવશો તો ચાલશે.’ પણ તેમનું મન તો છોડે નહીં ને ? એ તો જાતજાતનું દેખાડે. આપણાથી એમને સહેજ પણ દુઃખ કેમ અપાય ? આ તો કાયદો કહેવાય ને કાયદાને આધીન તો રહેવું જ પડે. બે વાગે ઊઠીને ‘રિયલ’ની ભક્તિ કરીએ તો કોઇ કંઇ બોલે ? ના, કોઇ ના પૂછે. શુદ્ધ વ્યવહાર : સદ્ વ્યવહારપ્રશ્નકર્તા : શુદ્ધ વ્યવહાર કોને કહેવો ? સદ્ વ્યવહાર કોને કહેવો ? દાદાશ્રી : ‘સ્વરૂપ’નું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ શુદ્ધ વ્યવહાર શરૂ થાય, ત્યાં સુધી સદ્ વ્યવહાર હોય. પ્રશ્નકર્તા : શુદ્ધ વ્યવહાર ને સદ્ વ્યવહારમાં ફેર શો ? દાદાશ્રી : સદ્ વ્યવહાર અહંકારસહિત હોય ને શુદ્ધ વ્યવહાર નિર્અહંકારી હોય. શુદ્ધ વ્યવહાર સંપૂર્ણ ધર્મધ્યાન આપે અને સદ્ વ્યવહાર અલ્પ અંશે કરીને ધર્મધ્યાન આપે. જેટલા શુદ્ધ વ્યવહાર હોય તેટલો શુદ્ધ ઉપયોગ રહે. શુદ્ધ ઉપયોગ એટલે ‘પોતે’ જ્ઞાતાદ્રષ્ટા હોય, પણ જુએ શું ? તો કે’, શુદ્ધ વ્યવહારને જુઓ. શુદ્ધ વ્યવહારમાં નિશ્ચય શુદ્ધ ઉપયોગ હોય. કૃપાળુદેવે કહ્યું : ‘ગચ્છમતની જે કલ્પના તે નહીં સદ્ વ્યવહાર.’ બધા સંપ્રદાયો એ કલ્પિત વાતો છે. તેમાં સદ્ વ્યવહારે ય નથી, તો પછી ત્યાં શુદ્ધ વ્યવહારની વાત શી કરવી ? શુદ્ધ વ્યવહાર એ નિર્અહંકારી પદ છે, શુદ્ધ વ્યવહાર એ બિનહરીફ છે. આપણે જો હરીફાઇમાં ઊતરીએ તો રાગદ્વેષ થાય. આપણે તો બધાંને કહીએ કે તમે જ્યાં છો ત્યાં જ બરોબર છો. ને તમને જો ખૂટતું હોય તો અહીં અમારી પાસે આવો. આપણે અહીં તો પ્રેમની જ લ્હાણી હોય, કોઇ દ્વેષ કરતો આવે તો ય પ્રેમ આપવો. ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઇ શુદ્ધાત્મા થાઓ અને (પા.૧૪૦)અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઇને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધો ય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય. શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં તેનું નામ ‘નિશ્ચય’ ! વ્યવહાર એટલો પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય. ચોખ્ખો વ્યવહાર ને શુદ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો મોક્ષે લઇ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે. આદર્શ વ્યવહાર અને નિર્વિકલ્પ પદ એ બે પ્રાપ્ત થઇ જાય પછી રહ્યું શું ? આટલું તો આખા બ્રહ્માંડને ફેરફાર કરી આવે. આદર્શ વ્યવહારથી મોક્ષાર્થ સધાય !દાદાશ્રી : તારો વ્યવહાર કેવો કરવા માંગે છે ? પ્રશ્નકર્તા : સંપૂર્ણ આદર્શ. દાદાશ્રી : ઘૈડાં થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શું કામનું ? આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઇએ. ‘વર્લ્ડ’માં એક જ માણસ આદર્શ વ્યવહારવાળો હોય તો તેનાથી આખું ‘વર્લ્ડ’ ફેરફારવાળું થાય એવું છે. પ્રશ્નકર્તા : આદર્શ વ્યવહાર કેવી રીતે થાય ? દાદાશ્રી : તમને (મહાત્માઓને) જે નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયું તો તેમાં રહેવાથી આદર્શ વ્યવહાર એની મેળે આવશે. નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયા પછી કશો ડખો થતો નથી, છતાં પણ તમને ડખો થાય તો તમે મારી આજ્ઞામાં નથી, અમારી પાંચ આજ્ઞા તમને ભગવાન મહાવીર જેવી સ્થિતિમાં રાખે એવી છે. વ્યવહારમાં અમારી આજ્ઞા તમને બાધક નથી, આદર્શ વ્યવહારમાં રાખે એવું છે. ‘આ’ જ્ઞાન તો વ્યવહારને ‘કમ્પ્લીટ’ (પા.૧૪૧)આદર્શમાં લાવે તેવું છે. મોક્ષ કોનો થશે ? આદર્શ વ્યવહારવાળાનો. અને ‘દાદા’ની આજ્ઞા એ વ્યવહાર આદર્શ લાવે છે. સહેજ પણ કોઇની ભૂલ આવે તો એ આદર્શ વ્યવહાર નથી. મોક્ષ એ કંઇ ગપ્પું નથી, એ હકીકત સ્વરૂપ છે. મોક્ષ એ કંઇ વકીલોનું શોધેલું નથી ! વકીલો તો ગપ્પામાંથી શોધે તેવું એ નથી, એ તો હકીકત સ્વરૂપ છે. એક ભાઇ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછયું કે, ‘અહીં ક્યાંથી તમે ?’ ત્યારે તેમણે કહ્યું કે, ‘હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારાં માબાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામા દુઃખી થાય છે.’ ત્યારે તેમણે કહ્યું કે, ‘એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.’ આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે માબાપને બોલાવે, ભાઇને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઇએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ? અરે, મનમાં ભાંડેલી ગાળ કે અંધારામાં કરેલાં કૃત્યો એ બધું ભયંકર ગુનો છે ! પેલો જાણે કે ‘મને કોણ જોવાનું છે ? ને કોણ આને જાણવાનું છે ?’ અલ્યા, આ ના હોય પોપાબાઇનું રાજ ! આ તો ભયંકર ગુનો છે! આ બધાંને અંધારાની ભૂલો જ પજવે છે ! વ્યવહાર આદર્શ હોવો જોઇએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઇ જવાય. આ સંસાર તો મછવો છે, તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું કે આનાથી કિનારે જવાનું છે. માટે વાતને સમજો. ‘જ્ઞાની પુરુષ’ પાસે તો ખાલી વાતને સમજવાની જ છે, કરવાનું કશું જ નથી ! ને જે સમજીને સમાઇ ગયો તે થઇ ગયો વીતરાગ !! - જય સચ્ચિદાનંદ. પ્રતિક્રમણ વિધિપ્રત્યક્ષ ‘દાદા ભગવાન’ની સાક્ષીએ દેહધારી ......*...... ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી જે જે .......**...... દોષ થયા છે, તેની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. * જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું. ** જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા. (તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. ‘ચંદુલાલ’ પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવવું.) |