ક્લેશ વિનાનું જીવન
સંપાદકીય
જીવન તો જીવી જવાય છે સહુ કોઈને, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય !
કળિયુગમાં તો ઘેર ઘેર રોજ સવારના પહોરમાં ચા-નાસ્તા જ ક્લેશથી થાય ! પછી આખા દિવસના ક્લેશના જમણ અને ફાકાઓની વાત જ શી કરવી ? અરે, સત્યુગ, દ્વાપર ને ત્રેતામાં ય મોટા મોટા પુરુષોના જીવનમાં ક્લેશ આવ્યા જ કરતા હતા. સાત્વિક પાંડવોને આખી જીંદગી કૌરવ સાથેની બાથ ભીડવાના વ્યૂહ ગોઠવવામાં જ ગઈ ! રામચંદ્રજી જેવાને વનવાસ અને સીતાના હરણથી માંડીને છેક અશ્વમેઘ યજ્ઞ થયો ત્યાં સુધી સંઘર્ષ જ રહ્યો ! હા, આધ્યાત્મિક સમજણ વડે તેઓ આ બધાંને સમતાભાવે પાર કરી ગયા એ એમની મહાન સિધ્ધિ ગણાય !
આ ક્લેશમય જીવન જાય તે તેનું મુખ્ય કારણ જ અણસમજણ ! 'તમામ દુઃખોનું મૂળ તું પોતે જ છે !' પરમ પૂજ્ય દાદાશ્રીનું આ વિધાન કેટલી ગહનતાથી દુઃખોના મૂળ કારણને ખુલ્લું કરે છે, જે ક્યારેય કોઈના મગજમાં જ ના આવે !
જીવન નૈયા કયે ગામ પૂગાડવી છે તે નક્કી કર્યા વિના, દિશા જાણ્યા વિના એને હંકાર્યે જ જાય, હંકાર્યે જ જાય તો મંઝિલ ક્યાંથી મળે ? હલેસાં મારી મારીને થાકી જાય, હારી જાય ને અંતે મધદરિયે ડૂબી જાય ! માટે જીવનનો ધ્યેય નક્કી કરવો અતિ અતિ આવશ્યક છે. ધ્યેય વિનાનું જીવન પટ્ટો લગાડ્યા વિનાનું ઈન્જીન ચલાવે રાખ્યા જેવું છે ! જો અંતિમ ધ્યેય જોઈતો હોય તો તે મોક્ષનો છે ને વચ્ચેનો જોઈતો હોય તો જીવન સુખમય ના હોય તો કંઈ નહીં પણ ક્લેશમય તો ના જ હોવું જોઈએ.
દરરોજ સવારના દિલથી પાંચ વાર પ્રાર્થના કરવી કે 'પ્રાપ્ત મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિતમાત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો !' અને તેમ છતાં કોઈને ભૂલથી દુઃખ દેવાઈ જાય તો તેનો હ્રદયપૂર્વક પસ્તાવો કરી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરી લઈ ધોઈ નાખવાથી જીવન ખરેખર શાંતિમય જાય છે.
ઘરમાં મા-બાપ છોકરાં વચ્ચેની કચકચનો અંત સમજણથી જ આવે. આમાં મુખ્ય મા-બાપે જ સમજવાનું છે. અતિશય લાગણીઓ, મોહ, મમતા માર અવશ્ય ખવડાવે ને સ્વ-પરનું અહિત કરીને જ રહે. 'ફરજ બજાવવાની છે, લાગણીના હિલોળાઓમાં ઝૂલવાનું ને પછી પડવાનું નથી.' પરમ પૂજ્ય દાદાશ્રીએ મા-બાપ છોકરાંના વ્યવહારની ખૂબ જ ઊંડી સમજ ઉભયના ઊંડા માનસને સમજીને ખુલ્લી કરી છે, જેનાથી લાખોના જીવન સુધરી ગયાં છે !
પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી હોવા છતાં અતિ અતિ ક્લેશ એ બન્નેમાં જ જોવા મળે છે. એક-બીજાની હૂંફથી એટલા બધા બંધાયેલા છે કે અંદર સદા ક્લેશ છતાં બહાર પતિ-પત્ની તરીકે આખું જીવન જીવી જાય છે. પતિ-પત્નીનો દીવ્ય વ્યવહાર કઈ રીતે થાય તેનું માર્ગદર્શન સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ હસતાં-હસાવતાં આપી દીધું છે !
સાસુ-વહુ જોડેનો વ્યવહાર, ધંધામાં શેઠ-નોકર કે વેપારી-વેપારી કે ભાગીદારો સાથેના વ્યવહારને પણ ક્લેશરહિત કેમ જીવવો તેની ચાવીઓ આપી છે.
કેવળ આત્મા આત્મા કરીને વ્યવહારની પૂરેપૂરી ઉપેક્ષા કરીને આગળ વધનારા સાધકો જ્ઞાનીપદને પામતા નથી. કારણ કે તેમનું જ્ઞાન વાંઝિયું જ્ઞાન ગણાય છે. અસલ જ્ઞાનીઓ જેમ કે પરમ પૂજ્ય દાદાશ્રીએ વ્યવહાર અને નિશ્ચયની બન્ને પાંખોને સમાંતર કરીને મોક્ષ ગગને વિહાર કર્યો છે ને લાખોને કરાવ્યો છે અને વ્યવહારજ્ઞાન અને આત્મજ્ઞાનની ટોચ પરની સમજ આપી જાગૃત કરી આપ્યા છે.
પ્રસ્તુત પુસ્તિકામાં જીવન જીવવાની કળા, જે પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી બોધકળાને સંક્ષિપ્તમાં સંકલિત કરવામાં આવી છે. વિગતે વધુ જાણવા પ્રત્યેક વ્યક્તિના વ્યવહારના સોલ્યુશન માટે મોટા ગ્રંથો પ્રાપ્ત કરી વધુ ઊંડી સમજ સુજ્ઞ વાચકે મેળવવી જરૂરી છે. મા-બાપ છોકરાંનો વ્યવહાર, પતિ-પત્નીનો દીવ્ય વ્યવહાર, વાણીનો વ્યવહાર, પૈસાનો વ્યવહાર ઈ.ઈ. વ્યવહાર જ્ઞાનના ગ્રંથોનું આરાધન કરી ક્લેશ વિનાનું જીવન જીવી જવાય છે.
- ડૉ. નીરુબેન અમીનનાં જય સચ્ચિદાનંદ