(1) 'હું' કોણ છું ?

જુદા, નામ અને 'પોતે' !

દાદાશ્રી : શું નામ આપનું ?

પ્રશ્નકર્તા : મારું નામ ચંદુલાલ.

દાદાશ્રી : ખરેખર તમે ચંદુલાલ છો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ચંદુલાલ તો તમારું નામ છે. ચંદુલાલ એ તો તમારું નામ નહીં ? તમે 'પોતે' ચંદુલાલ કે તમારું નામ ચંદુલાલ ?

પ્રશ્નકર્તા : એ તો નામ છે.

દાદાશ્રી : હા. તો 'તમે' કોણ ? જો 'ચંદુલાલ' તમારું નામ હોય તો તમે કોણ છો ? તમારું નામ અને તમે જુદા નહીં ? તમે નામથી જુદા છો, તો તમે કોણ ? આ વાત આપને સમજાય છે ને, કે હું શું કહેવા માગું છું એ ? 'આ મારા ચશ્મા' કહીએ તો ચશ્માને આપણે જુદા ને ? એમ તમે નામથી જુદા છો એવું હજુ નથી લાગતું ?

જેમ દુકાનને નામ આપીએ કે 'જનરલ ટ્રેડર્સ', એ કંઈ ગુનો નથી. પણ એના શેઠને આપણે કહીએ કે 'એય જનરલ ટ્રેડર્સ, અહીં આવ.' તો શેઠ શું કહે કે, 'મારું નામ તો જયંતિલાલ છે અને જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે.' એટલે દુકાનનું નામ જુદું અને શેઠ મહીં જુદા, માલ જુદો, બધું જુદું હોય ને ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : પણ આમાં તો 'ના, હું જ ચંદુલાલ છું' કહેશે. એટલે દુકાનનું બોર્ડે ય હું ને શેઠે ય હું ?! તમે ચંદુલાલ છો, એ તો ઓળખવાનું સાધન છે.

અસરો ? તો આત્મસ્વરૂપે નથી !

હા, તદ્દન તમે ચંદુલાલ નથી એવું નથી. તમે છો ચંદુલાલ, પણ બાય રિલેટીવ વ્યુ પોઈન્ટથી યુ આર ચંદુલાલ ઈઝ કરેક્ટ.

પ્રશ્નકર્તા : હું તો આત્મા છું, પણ નામ ચંદુલાલ છે.

દાદાશ્રી : હા, પણ અત્યારે 'ચંદુલાલ'ને કોઈ ગાળ દે તો 'તમને' અસર થાય છે ખરી ?

પ્રશ્નકર્તા : અસર તો થાય.

દાદાશ્રી : તો 'તમે' 'ચંદુલાલ' છો, 'આત્મા' નથી. આત્મા હો તો તમને અસર ના થાય અને અસર થાય છે માટે તમે ચંદુલાલ જ છો.

ચંદુલાલના નામની ગાળો ભાંડે તો તમે એને પકડી લો છો. ચંદુલાલના નામનું કોઈ અવળું બોલતું હોય તો ભીંતે કાન દઈને સાંભળો. આપણે કહીએ કે, 'ભઈ, ભીંત તમને શું કહી રહી છે ?' ત્યારે કહે, 'ના, ભીંત નહીં, અંદર મારી વાત ચાલી રહી છે તે સાંભળી રહ્યો છું.' હવે કોની વાત ચાલે છે ? ત્યારે કહે, 'ચંદુલાલની'. અરે, પણ તમે ચંદુલાલ ન્હોય. જો તમે આત્મા હો તો ચંદુલાલની વાત તમે લો નહીં.

પ્રશ્નકર્તા : ખરેખર તો 'હું આત્મા જ છું' ને ?

દાદાશ્રી : હજુ તમે આત્મા થયા નથી ને ! ચંદુલાલ જ છોને ! 'હું ચંદુલાલ છું' એ આરોપિત ભાવ છે. તમને 'હું ચંદુલાલ જ છું' એવી બિલિફ બેસી ગઈ છે, એ રોંગ બિલિફ છે.

(૨) બિલિફો, રોંગ - રાઈટ !

કેટલી બધી રોંગ બિલિફ !

'હું ચંદુલાલ છું' એ માન્યતા, એ બિલિફ તો તમારી રાતે ઊંઘમાં ય જતી નથી ને ! પાછાં લોકો પૈણાવે આપણને અને પછી કહેશે, 'તું તો આ બાઈનો ધણી થઉં' એટલે આપણે પાછું ધણીપણું માની લીધું. પછી 'હું આનો ધણી થાઉં, ધણી થાઉં' કરે. કોઈ કાયમનો ધણી હોય ખરો ? ડાયવૉર્સ થાય તે પછી બીજે દહાડે તેનો ધણી ખરો ? એટલે આ બધી રોંગ બિલિફો બેસી ગઈ છે.

એટલે 'હું ચંદુલાલ છું' એ રોંગ બિલિફ છે. પછી 'આ બાઈનો ધણી છું' એ બીજી રોંગ બિલિફ. 'હું વૈષ્ણવ છું' એ ત્રીજી રોંગ બિલિફ. 'હું વકીલ છું' એ ચોથી રોંગ બિલિફ. 'હું આ છોકરાનો ફાધર થાઉં' એ પાંચમી રોંગ બિલિફ. 'આનો મામો થાઉં' એ છઠ્ઠી રોંગ બિલિફ. 'હું ગોરો છું' એ સાતમી રોંગ બિલિફ. 'હું પિસ્તાલીસ વર્ષનો છું' એ આઠમી રોંગ બિલિફ. 'હું આનો ભાગીદાર છું' એ ય રોંગ બિલિફ. 'હું ઈન્કમટેક્ષ ભરનારો છું' એમ તમે કહો તે ય રોંગ બિલિફ. આવી કેટલી રોંગ બિલિફ બેઠી હશે ?

'હું' નું સ્થાનફેર !

આ 'હું ચંદુલાલ છું' એ અહંકાર છે. કારણ કે જ્યાં 'હું' નથી, ત્યાં 'હું' નો આરોપ કર્યાે, એનું નામ અહંકાર.

પ્રશ્નકર્તા : 'હું ચંદુલાલ છું' કહે, એમાં અહંકાર ક્યાં ? 'હું આમ છું, હું તેમ છું' એમ કરે એ જુદી ચીજ છે પણ સહજભાવે બોલે, તેમાં ક્યાં અહંકાર ?

દાદાશ્રી : સહજ ભાવે બોલે તો ય અહંકાર કંઈ જતો રહે છે ? 'મારું નામ ચંદુલાલ છે' એ સહજ ભાવે બોલે તો ય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને !

'તમે ચંદુલાલ છો' એ ડ્રામેટિક વસ્તુ છે. એટલે 'હું ચંદુલાલ છું' એ બોલવામાં વાંધો નથી, પણ 'હું ચંદુલાલ છું' એ બિલિફ ના બેસવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા, નહીં તો 'હું' પદ આવી ગયું.

દાદાશ્રી : 'હું' 'હું'ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. 'હું' મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે માટે અહંકાર. આરોપિત જગ્યાએથી 'હું' ઊડી જાય અને મૂળ જગ્યાએે બેસી જાય તો અહંકાર ગયો. એટલે 'હું' કાઢવાનું નથી, 'હું' એને એક્ઝેક્ટ પ્લેસ (યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે.

'પોતે' પોતાથી જ અજાણ્યો ?!

આ તો અનંત અવતારથી પોતે પોતાથી ગુપ્ત રહેવાનો પ્રયત્ન છે. પોતે પોતાથી ગુપ્ત રહે અને પારકું જાણે બધું, એ અજાયબી જ છે ને ! પોતે પોતાથી ગુપ્ત કેટલો વખત રહેશો ? ક્યાં સુધી રહેશો ? 'પોતે કોણ છે' એ જાણવા માટે જ આ અવતાર છે. મનુષ્યનો અવતાર એટલા માટે જ છે કે 'પોતે કોણ છે' એ તપાસ કરી લેવી. નહીં તો ત્યાં સુધી ભટકશો. 'હું કોણ છું' એ જાણવું પડશે ને ? તમે 'પોતે કોણ છો' એ જાણવું પડશે કે નહીં જાણવું પડે ?

(૩) I અને My ને છૂટા પાડવાનો પ્રયોગ !

સેપરેટ I એન્ડ My !

તમને કહ્યું હોય કે સેપરેટ I એન્ડ My વિથ સેપરેટર, તો તમે I અને My સેપરેટ કરી લાવો ખરાં ? I એન્ડ My સેપરેટ કરવા જેવું ખરું કે નહીં ? જગતમાં કદી જાણવું તો પડશે ને ! સેપરેટ I એન્ડ My. જેમ દૂધનું સેપરેટર હોય છે ને, તેમાંથી મલાઈને સેપરેટ-જુદી પાડે છે ને ? એવું આ જુદું પાડવાનું.

તમારે My જેવી કશું વસ્તુ છે ? I એકલા છો કે My સાથે છે ?

પ્રશ્નકર્તા : My સાથે હોય ને !

દાદાશ્રી : શું શું My છે તમારે ?

પ્રશ્નકર્તા : મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ.

દાદાશ્રી : બધી તમારી કહેવાય ? અને વાઈફ કોની કહેવાય ?

પ્રશ્નકર્તા : એ પણ મારી.

દાદાશ્રી : અને છોકરાં કોના ?

પ્રશ્નકર્તા : એ પણ મારા.

દાદાશ્રી : અને આ ઘડિયાળ કોનું ?

પ્રશ્નકર્તા : એ પણ મારું છે.

દાદાશ્રી : અને હાથ કોના છે ?

પ્રશ્નકર્તા : હાથ પણ મારા છે.

દાદાશ્રી : પછી 'મારું માથું, મારું બોડી, મારા પગ, મારા કાન, મારી આંખો' એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને 'મારું' કહે છે, ત્યારે 'મારું' કહેનાર તમે કોણ છો ? એ વિચાર્યું નથી ? 'માય નેમ ઈઝ ચંદુલાલ' બોલે અને પછી કહેશો 'હું ચંદુલાલ છું', આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો ?

પ્રશ્નકર્તા : લાગે છે.

દાદાશ્રી : તમે ચંદુલાલ છો, હવે આમાં I એન્ડ My બે છે. આ I એન્ડ My એ બે રેલવેલાઈન જુદી જ હોય. પેરેલલ જ રહે છે, કોઈ દહાડો એકાકાર થતું જ નથી. છતાં ય તમે એકાકાર માનો છો, તે સમજીને આમાંથી Myને સેપરેટ કરી નાખો. તમારામાં જે My છે ને, એ બાજુએ મૂકો. My હાર્ટ, તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજું શું શું સેપરેટ કરવાનું હોય ?

પ્રશ્નકર્તા : પગ, ઈન્દ્રિયો.

દાદાશ્રી : હા. બધું જ. પાંચ ઈન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો બધું જ. પછી 'My માઈન્ડ' કહે છે કે 'I એમ માઈન્ડ' કહે છે ?

પ્રશ્નકર્તા : 'My માઈન્ડ' કહે છે.

દાદાશ્રી : મારી બુદ્ધિ કહે છેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : મારું ચિત્ત કહે છેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને 'My ઈગોઈઝમ' બોલે છે કે 'I એમ ઈગોઈઝમ' બોલે છે ?

પ્રશ્નકર્તા : My ઈગોઈઝમ.

દાદાશ્રી : 'My ઈગોઈઝમ' બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ.

પણ એક એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો I ને My એ બે જુદું થઈ શકે ખરું ને ? I ને My બે જુદાં પાડતાં છેવટે શું રહે ? Myને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું ?

પ્રશ્નકર્તા : I.

દાદાશ્રી : તે I એ જ તમે છો ! બસ, તે I ને રીયલાઈઝ કરવાનું છે.

પ્રશ્નકર્તા : તો સેપરેટ કરીને એમ જાણવાનું છે કે જે બાકી રહ્યું તે 'હું' છું.

દાદાશ્રી : હા, સેપરેટ કરીને જે બાકી રહ્યું તે તમે પોતે છો. I એ તમે પોતે જ છો. એની તપાસ તો કરવી પડશે ને ? એટલે આ સહેલો રસ્તો છે ને, I અને My જુદાં કરે તો ?

પ્રશ્નકર્તા : આમ તો સહેલો રસ્તો છે, પણ પેલું સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જુદું થાય તો ખરું ને ? એ જ્ઞાની વગર ના બને ને ?

દાદાશ્રી : હા, તે જ્ઞાની પુરુષ દેખાડી દે. તો તેથી અમે કહીએ છીએ ને, સેપરેટ I એન્ડ My વિથ જ્ઞાનીઝ સેપરેટર. એ સેપરેટરને શાસ્ત્રકારો શું કહે છે ? ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો ? કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી. ભેદજ્ઞાન એટલે 'મારું' બધું આ છે અને 'હું' જુદો છું આનાથી. એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય.

'I અને My' ના ભેદ પાડે તો બહુ સહેલું છે ને આ ? મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે ? નહીં તો આ કાળના જીવોનોે તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય.

પ્રશ્નકર્તા : તમારા જેવાની જરૂર ખરી ને, સમજવા માટે તો ?

દાદાશ્રી : હા, જરૂર ખરી. પણ જ્ઞાની પુરુષ તો બહુ હોય નહીં ને ! પણ કો'ક કાળે હોય. ત્યારે કામ કાઢી લેવાનું આપણે. જ્ઞાની પુરુષનું સેપરેટર લઈ જવું એકાદ કલાકને માટે, એનું ભાડું-બાડું ના હોય ! તેનાથી સેપરેટ કરી લાવો. એટલે I છૂટો થઈ જાય, નહીં તો ના થાય ને ! I છૂટૂં થઈ ગયું એટલે બધુંં કામ થઈ જાય. આ બધાં શાસ્ત્રોનો સાર આટલો જ છે.

આત્મા થવું હોય તો 'મારું' બધુંં સોંપી દેવું પડશેે. જ્ઞાની પુરુષને My સોંપી દેશો તો I એકલું તમારી પાસે રહેશે. I વિથ My, એનું નામ જીવા I મા. 'હું છું અને આ બધુંં મારું છે' એ જીવાત્મા દશા. અને 'હું જ છું ને મારું ન્હોય' એ પરમાત્મ દશા. એટલે Myને લઈને આ મોક્ષ નથી થતો. 'હું કોણ છું' નું ભાન થાય તો My છૂટી જાય. My જો છૂટ્યું તો બધુંં છૂટ્યું.

My ઈઝ રિલેટીવ ડિપાર્ટમેન્ટ એન્ડ I ઈઝ રીયલ. એટલે I ટેમ્પરરી હોય નહીં, I ઈઝ પરમેન્ટ. My ઈઝ ટેમ્પરરી. એટલે આમાં તમારે I ખોળી કાઢવાનો છે.

(૪) જગતમાં ઉપરી કોણ ?

જ્ઞાની જ ઓળખાવે 'હું'ને !

પ્રશ્નકર્તા : 'હું કોણ છું' એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં રહીને કેવી રીતે બને ?

દાદાશ્રી : તો ક્યાં રહીને જાણી શકાય એ ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય ? આ જગતમાં બધા સંસારી જ છે ને બધા સંસારમાં જ રહે છે. અહીં 'હું કોણ છું ?' એ જાણવા મળે એવું છે. 'તમે કોણ છો' એ સમજવા માટેનું જ આ સાયન્સ છે અહીં આગળ. અહીંયાં આવજો, અમે તમને ઓળખાવડાવીશું.

અને આ અમે તમને જેટલું પૂછીએ છીએ, તે તમને એમ નથી કહેતા કે તમે આવું કરી લાવો. તમારાથી થાય એવું નથી. એટલે અમે તમને શું કહીએ છીએ કે અમે તમને બધું કરી આપીશું. તેથી વરીઝ તમારે નહીં કરવાની. આ તો પહેલું જાણવાનું કે ખરેખર આપણે શું છીએ અને શું જાણવા જેવું છે ? સાચી વાત શી છે ? કરેક્ટનેસ શું છે ? વર્લ્ડ શું છે ? આ બધું શું છે ? પરમાત્મા શું છે ?

પરમાત્મા છે ? પરમાત્મા છે જ અને તેે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો, પણ કોઈ આપણને એ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને ! એ દરવાજો એવો વસાઈ ગયો છે, કોઈ દહાડો પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવા તરણતારણહાર જ્ઞાની પુરુષનું જ કામ છે.

પોતાની જ ભૂલો પોતાની ઉપરી !

ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમારો કોઈ ઉપરી જ નથી, કોઈ બાપોય ઉપરી નથી. તમને કોઈ કશું કરનાર જ નથી. તમે સ્વતંત્ર જ છો, ફક્ત તમારી ભૂલોથી તમે બંધાયેલા છો.

તમારો ઉપરી કોઈ છે નહીં ને તમારામાં કોઈ જીવની ડખલેય નથી. આ આટલાં બધા જીવો છે, પણ કોઈ જીવની તમારામાં ડખલ નથી. અને આ લોક જે કંઈં ડખલ કરે છે, તે તમારી ભૂલથી ડખલ કરે છે. તમે ડખલો કરી આવ્યા છો, તેનું ફળ છે આ. આ હું જાતે જોઈને કહું છું.

અમે આટલાં બે વાક્યોમાં ગેેરેંટી આપીએ છીએ ત્યારે માણસ મુક્ત રહી શકે. અમે શું કહીએ છીએ કે,

'તારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી. તારાં ઉપરી તારાં બ્લંડર્સ અને તારી મિસ્ટેકો છે. એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે.'

અને 'તારામાં કોઈની સહેજ પણ ડખલ નથી. કોઈ જીવ કોઈ જીવને કિંચિત્માત્ર ડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી એવું આ જગત છે.'

આ બે વાક્યો બધું સમાધાન લાવે.

(૫) જગતમાં કર્તા કોણ ?

જગતકર્તાની વાસ્તવિકતા !

ફેક્ટ વસ્તુ નહીં જાણવાથી જ આ બધું ગૂંચાયું છે. હવે આપને જે જાણેલું છે તે જાણવું છે કે જે જાણ્યું નથી તે જાણવું છે ?

જગત શું છે ? કેવી રીતે બન્યું ? કોણ બનાવનાર ? આપણને આ જગત સાથે શું લેવાદેવા ? આપણી સાથે આપણા સંબંધીઓને શું લેવાદેવા ? શેના આધારે બીઝનેસ ? હું કરું છું કે કર્તા બીજો કોઈ છે ? આ બધું જાણવાની જરૂર તો ખરી જ ને ?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : એટલે આમાં શરૂઆતમાં શું જાણવું છે, એની પહેલાં વાતચીત કરીએ. જગત કોણે બનાવ્યું હોય એવું તમને લાગે છે ? કોણે બનાવ્યું હશે આવું ગૂંચવાડાવાળું જગત ? તમારો મત શું છે ?

પ્રશ્નકર્તા : ઈશ્વરે જ બનાવ્યું હશે.

દાદાશ્રી : તો તો પછી આખા જગતને ચિંતામાં શું કરવા રાખ્યું છે ? ચિંતાની બહારની અવસ્થા જ નથી.

પ્રશ્નકર્તા : બધા ચિંતા કરે જ છે ને ?

દાદાશ્રી : હા, પણ તેણે આ જગત બનાવ્યું, તો ચિંતાવાળું શું કરવા બનાવ્યું ? એને પકડી મંગાવો, સી.બી.આઈવાળાને મોકલીને ! પણ ભગવાન ગુનેગાર છે જ નહીં ! આ તો લોકોએ એને ગુનેગાર બનાવ્યો.

વાસ્તવમાં તો ગોડ ઈઝ નોટ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઑલ. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે આ તો બધી કુદરતી રચના છે. એને ગુજરાતીમાં હું 'વ્યવસ્થિત શક્તિ' કહું છું. આ તો બહુ ઝીણી વાત છે.

એને મોક્ષ કહેવાય જ નહીં !

નાનો છોકરો હોય તે ય કહે કે, 'ભગવાને બનાવ્યું.' મોટા સંત હોય તે ય કહેશે કે, 'ભગવાને બનાવ્યું.' આ વાત લૌકિક છે, અલૌકિક નથી આ.

ભગવાન જો ક્રીયેટર હોયને, તો એ આપણો કાયમને માટે ઉપરી ઠરત અને મોક્ષ જેવી વસ્તુ ના હોત, પણ મોક્ષ છે. ભગવાન ક્રીયેટર નથી. મોક્ષને સમજવાવાળા માણસો ભગવાનને ક્રીયેટર તરીકે માને નહીં. 'મોક્ષ' અને 'ભગવાન ક્રીયેટર' એ બે વિરોધાભાસ વાત છે. ક્રીયેટર તો કાયમનો ઉપકારી થયો અને ઉપકારી થયો એટલે ઠેઠ સુધી ઉપરીને ઉપરી જ રહ્યો.

તો ભગવાનને કોણે બનાવ્યો ?

હવે ભગવાને બનાવ્યું એમ આપણે જો અલૌકિક્ રીતે કહીએ તો લોજિકવાળા આપણને પૂછે કે, 'ભગવાનને કોણે બનાવ્યો ?' એટલે પ્રશ્નો ઊભા થાય છે. લોકો મને કહે છે, 'અમને લાગે છે ભગવાન જ દુનિયાના કર્તા છે. તમે તો ના કહો છો, પણ તમારી વાત માન્યામાં નથી આવતી.' ત્યારે હું પુછું છું કે, જો હું કબૂલ કરું કે ભગવાન કર્તા છે, તો એ ભગવાનને કોણે બનાવ્યો છે ? એ તું મને કહે. અને એ બનાવનારને કોણે બનાવ્યો ? કોઈ પણ કર્તા હોય તો તેનો કર્તા હોવો ઘટે એ લોજિક છે. પણ એનો પછી એન્ડ ના આવે એટલે એ ખોટી વાત છે.

ન આદિ, ન અંત જગતનો....!

એટલે કોઈના બનાવ્યા સિવાય બન્યું છે, કોઈએ બનાવ્યું નથી આ. કોઈએ કયુર્ં નથી એટલે કોને પૂછીએ આપણે હવે આમાં ? હું ય ખોળતો હતો કે કોણ એવો જોખમદાર છે કે જેણે આ બધી ધાંધલ માંડી ! મેં બધે તપાસ કરી, પણ કોઈ જગ્યાએ મળ્યો નહીં.

મેં ફોરેનનાં સાયન્ટિસ્ટોને કહ્યુંં કે, 'ગોડ ક્રિયેટર છે એની તમે સાબિતી આપવા માટે મારી જોડે થોડી વાતચીત કરો. જો એ ક્રિયેટર હોય તો એણે કઈ સાલમાં ક્રિયેટ કર્યુ એ કહો.' ત્યારે એ કહે છે, 'સાલની અમને ખબર નથી.' મેં પૂછયું, 'પણ એનું બિગિનિંગ થયું કે ના થયું ?' ત્યારે એ કહે છે, 'હા, બિગિનિંગ થઈ ગયું.' ક્રિયેટર કહે એટલે બિગિનિંગ થાય સ્તોને !' જેનું બિગિનિંગ થાય, એનો એન્ડ આવે. આ તો એન્ડ વગરનું જગત છેે. બિગિનિંગ થયું નથી પછી એન્ડ ક્યાંથી આવે ? આ તો અનાદિ અનંત છે. જેનું બિગિનિંગ ના થયેલું હોય, તેનો બનાવનાર હોઈ શકે નહીં એવું નથી લાગતું ?

ભગવાનનું સાચું સરનામું !

તે આ ફોરેનના સાયંટિસ્ટોએ પૂછયું કે, 'તો શું ભગવાન નથી ?' ત્યારે મેં કહ્યુંં, 'ભગવાન ના હોય તો આ જગતમાં જે લાગણીઓ ને સુખ અને દુઃખ એ બધું જે લાગે છે, એનો કોઈ અનુભવ જ ના થાત. માટે ભગવાન અવશ્ય છે.' એ મને પૂછે છે કે, 'ભગવાન ક્યાં રહેે છે ?' મેં કહ્યું,ં 'તમને ક્યાં લાગે છે ?' ત્યારે તે કહે, 'ઉપર.' મેં કહ્યું, 'ઉપર ક્યાં રહે છે એ ? એની પોળ નંબર શી ? પોળ જાણો છો તમે ? કાગળ પહોંચે એવું સાચું એડ્રેસ છે તમારી પાસે ?' ઉપર તો કોઈ બાપોય નથી. બધે હું જઈ આવ્યો. બધા લોકો કહેતા હતા કે ઉપર છે, ઉપર આંગળી કર્યા કરે. તે મારા મનમાં એમ લાગ્યું કે બધા લોકો કહે છે, માટે કંઈક હોવું જોઈએ. તેથી હું ઉપર બધે તપાસ કરી આવ્યો તો ઉપર ખાલી આકાશ જ છે, ઉપર કોઈ ના મળે. ઉપર તો કોઈ રહેતા નથી. હવે એ ફોરેનનાં સાયંટિસ્ટ મને કહે છે, 'સાચું એડ્રેસ આપશો ભગવાનનું ?' મેં કહ્યું, 'લખી લો. ગોડ ઈઝ ઈન એવરી ક્રિયેચર વેધર વિઝીબલ ઓર ઈનવિઝીબલ, નોટ ઈન ક્રિયેશન.'

આ ટેપરેકર્ડ એ ક્રિયેશન કહેવાય. જેટલી મેનમેડ વસ્તુ છે, મનુષ્યોએ બનાવેલી વસ્તુ હોય, તેમાં ભગવાન નથી. કુદરતી બનાવટ છે, એમાં ભગવાન છે.

સગવડિયો સિધ્ધાંત !

એટલે આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. તેમાં ઈગોઈઝમ કરીને 'મેં કર્યુ કહીને હાંક્યે રાખે છે. પણ આ તો સારું થાય તો 'મંે કર્યુ' અને ના સારું થાય તો 'મારા સંજોગ હમણાં સારા નથી' એવું આપણા લોકો કહે છે ને ! સંજોગોને માને છે ને, આપણા લોકો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કમાયો તેનો ગર્વરસ પોતે ખાય છે ને જ્યારે ખોટ આવે છે ત્યારે કશું બહાનું કાઢે. આપણે પૂછીએ, 'કેમ શેઠ, આમ થઈ ગયા છો હમણાં ?' ત્યારે એ કહે, 'ભગવાન રૂઠ્યા છે.'

પ્રશ્નકર્તા : સગવડિયો સિધ્ધાંત થઈ ગયો.

દાદાશ્રી : હા. સગવડિયું, પણ તે આવો આરોપ એની પર ના આપવો જોઈએ. વકીલ ઉપર આરોપ આપીએ, બીજા કોઈને આરોપ આપી એ તો ઠીક છે પણ ભગવાન ઉપર આરોપ અપાય ?! વકીલ તો દાવો માંડીને હીસાબ લે પણ આનો કોણ દાવો માંડે ? આનું ફળ તો આવતા ભવમાં ભયંકર બેડી મળે. ભગવાનનું નામ દઈને આરોપ અપાય ખરો ?

પ્રશ્નકર્તા : ના અપાય.

દાદાશ્રી : નહીં તો કહેશે, 'સ્ટાર્સ ફેવરેબલ નથી.' નહીં તો 'ભાગિયો મૂઓ વાંકો છે' એવું કહે. નહીં તો ભાગીદારનો વાંધો કાઢે. નહીં તો 'છોકરાની વહુ મોરપગી છે' એમ બોલે. પણ પોતાને માથે ના આવવા દે ! પોતાના માથે ગુનેગારી લેતો નથી કોઈ દહાડોય. એટલે એક ફોરેનવાળાની સાથે મારે વાતચીત થયેલી. એ કહે છે, 'તમારા ઈન્ડિયનો ગુનો માથે કેમ નથી આવવા દેતા ?' મેં કહું, 'એ જ ઈન્ડિયન પઝલ છે. મોટામાં મોટું પઝલ હોય તો ઈન્ડિયાનું આ છે.'

સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !

એટલે વાતચીત કરો, જે કંઈ વાતચીત કરવી હોય તે બધી કરો. એવી વાતચીત કરો કે જેનાથી આપણને બધા ખુલાસા થઈ જાય.

પ્રશ્નકર્તા : આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ ના સમજાયું.

દાદાશ્રી : આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓ)ના આધારે છે. જગતમાં એક પણ પરમાણુ ચેન્જ થઈ શકે એમ નથી. અત્યારે તમે જમવા બેસોને, તો તમને ખબર નથી હું શું ખાવાનો છું ? બનાવનારને ખબર નથી કે કાલે જમવામાં શું કરવાનું છે ? આ શી રીતે બની જાય છે, એ ય અજાયબી છે. કેટલું તમારાથી ખવાશે ને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુ માત્ર ગોઠવાયેલું છે.

તમે આજે મને ભેગા થયા ને, એ શાના આધારે થયા ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અતિ અતિ ગુહ્ય કારણો છે. એ કારણ શોધી કાઢો.

પ્રશ્નકર્તા : પણ એ શોધવું કેવી રીતે ?

દાદાશ્રી : એટલે આ અત્યારે તમે અહીં આવ્યા તેમાં તમારું આવવાપણું કશું છે નહીં. એ તો તમે માનો છો, ઈગોઈઝમ કરો છો કે, 'હું આવ્યો ને હું ગયો.' આ જે તમે કહો છો, 'હું આવ્યો' અને હું કહું કે કાલે કેમ આવ્યા નહીં ? ત્યારે આમ પગ બતાવો. એટલે શું સમજી જઈએ ?

પ્રશ્નકર્તા : પગ દુખતા હતા.

દાદાશ્રી : હા, પગ દુખતા હતા. પગનું નામ દો તો ના સમજીએ કે તમે આવનારા કે પગ આવનારા ?

પ્રશ્નકર્તા : એટલે હું જ આવ્યો છું કહેવાયને ?

દાદાશ્રી : તમે જ આવ્યા છો, નહીં ? આ પગ દુઃખે એટલે તમે પાછાં આવો ?

પ્રશ્નકર્તા : મારી પોતાની ઈચ્છા આવવાની હતી એટલે આવ્યો છું.

દાદાશ્રી : હા, ઈચ્છા તમારી તેથી આવ્યા. પણ આ પગને બધું પાંસરું હતું તો આવી શક્યાને ? પાંસરું ના હોત તો ?

પ્રશ્નકર્તા : તો તો ના અવાય, બરાબર છે.

દાદાશ્રી : એટલે તમારા એકલાથી અવાય છે ? જેમ એક માણસ રથમાં બેસીને અહીં આગળ આવ્યો ને કહે 'હું આવ્યો, હું આવ્યો.' ત્યારે આપણે કહીએ, 'આ પગે તો તમારે પેરાલીસિસ થયેલું છે, તો શી રીતે આવ્યા તમે ?' ત્યારે એ કહે, 'રથમાં આવ્યો. પણ હું જ આવ્યો, હું જ આવ્યો.' 'અરે, પણ રથ આવ્યો કે તમે આવ્યા ?' ત્યારે એ કહે, 'રથ આવ્યો.' એટલે હું કહું છું કે 'રથ આવ્યો કે બળદિયા આવ્યા ?'

એટલે વાત ક્યાંની ક્યાં છે આ તો ! પણ જો ઊંધું માની લીધું છે ને ! આ બધા સંજોગ પાંસરા હોય તો અવાય, નહીં તો ના અવાય.

માથું દુઃખતું હોય તો તમે આવેલાં હોય તો ય પાછાં જતા રહો. આપણે આવનાર-જનાર હોય, પછી માથું દુખ્યાનું બહાનું કઢાય નહીં ને ? અલ્યા, ત્યારે માથું આવ્યું હતું કે તમે આવ્યા હતા ? અગર તો તમને રસ્તામાં કોઈ સામો મળે ને કહે, 'હેડોં, ચંદુલાલ મારી સાથે', તો તમે પાછાં જાવ. એટલે સંજોગ પાંસરા મળે, અહીં આવ્યા ત્યાં સુધી કોઈ અટકાવનાર મળે નહીં ત્યારે અવાય.

પોતાની સત્તા કેટલી ?

તમે કોઈ દહાડોય ખાધું પણ નથી ને ! આ તો બધું ચંદુલાલ ખાય છે ને તમે મનમાં માનો છો કે મંે ખાધું. ખાય છે ચંદુલાલ ને સંડાસે ય ચંદુલાલ જાય. તો વગર કામના આમાં સપડાયા છો. એ સમજાય છે આપને ?

પ્રશ્નકર્તા : એ સમજાવો.

દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસ સંડાસ જવાની સ્વતંત્ર સત્તાવાળો જન્મ્યો નથી. સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી કોઈને, તો બીજી કઈ સત્તા હશે ? આ તો જ્યાં સુધી પોતાની મરજી મુજબ થોડું ઘણું થાય છે એટલે મનમાં માની લે છે કે મારાથી જ થાય છે બધું. જ્યારે અટકેને, ત્યારે ખબર પડે.

મેં ફોરેન રીટર્ન ડૉકટરોને અહીં વડોદરામાં ભેગા કર્યા હતા, દશ-બાર જણને. મેં કહ્યું, 'સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ તમારામાં નથી', એટલે એ ઊંચાનીચા થવા માંડ્યા. પછી કહ્યું કે એ તો અટકશે ત્યારે ખબર પડશે. ત્યારે ત્યાં આગળ હેલ્પ લેવી પડે કોઈકની. માટે આ તમારી સ્વતંત્ર શક્તિ જ નથી. આ તો ભ્રાંતિથી તમે કુદરતી શક્તિને પોતાની શક્તિ માની લીધી છે. પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ ભ્રાંતિ. આ વાત થોડીઘણી સમજાઈ આપને ? બે આની કે ચાર આની સમજાયું ?

પ્રશ્નકર્તા : હા, સમજાય છે.

દાદાશ્રી : એટલું સમજાય તો ય ઉકેલ આવે. આ બધા લોકો જે બોલે છે ને કે, 'મેં આટલું તપ કર્યુ, આમ જાપ કર્યા, ઉપવાસ કર્યા' એ બધું જ ભ્રાંતિ છે, છતાંય જગત તો આવું ને આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહેવાનું નથી. સ્વભાવ છે ને ?

કર્તા, નૈમિત્તિક કર્તા.....

પ્રશ્નકર્તા : ખરેખર પોતે કર્તા નથી, તો પછી કર્તા કોણ છે ? અને એનું સ્વરૂપ શું છે ?

દાદાશ્રી : એવું છે, નૈમિત્તિક કર્તા તો પોતે જ છે. પોતે સ્વતંત્ર કર્તા તો છે જ નહીં. પણ નૈમિત્તિક કર્તા છે. એટલે પાર્લામેન્ટરી પદ્ધતિથી કર્તા છે. પાર્લામેન્ટરી પદ્ધતિ એટલે ? જેમ પાર્લામેન્ટમાં બધાના વોટિંગ હોય, અને પછી છેવટે પોતાનો વોટ હોય ને તેના આધારે પોતે કહે છે કે આ તો મારે કરવું પડશે. એટલે હિસાબે કર્તા થાય છે, આ યોજનાનું સર્જન થાય છે. યોજના કરનાર પોતે જ છે. કર્તાપણું ફક્ત યોજનામાં હોય છે, યોજનામાં એની સહી છે. પણ તે જગતને ખબર નથી. આ નાના કૉમ્પ્યુટરમાંથી ફીડ નીકળે અને મોટા કૉમ્પ્યુટરમાં એ ફીડ જાય, એવી રીતે આ યોજના સર્જન થઈને મોટા કૉમ્પ્યુટરમાં જાય છે. આ મોટું કૉમ્પ્યુટર પછી એને વિસર્જન કરે છે એટલે આ ભવમાં આખી લાઈફ વિસર્જન સ્વરૂપે છે, જેનું સર્જન ગયા ભવમાં થયેલું હોય છે. એટલે આ ભવમાં જન્મથી મરણ સુધી વિસર્જન સ્વરૂપે જ છે. પોતાના હાથમાં કશું ય નથી, પરસત્તામાં જ છે. યોજના થઈ કે એ બધું પછી પરસત્તામાં જાય છે. રૂપકમાં એ પરસત્તા પછી અમલ બજાવે છે. એટલે રૂપક જુદું છે. રૂપક પરસત્તાને તાબે છે. આપને સમજાય છે ? આ વાત બહુ ઊંડી છે.

કર્તાપદથી કર્મબંધ !

પ્રશ્નકર્તા : આ કર્મનાં બંધનમાંથી છૂટવા માટે શું કરવું ?

દાદાશ્રી : આ કર્મ છે એ કર્તાના આધિન છે. એટલે કર્તા હોય તો જ કર્મ થાય. કર્તા ના હોય તો કર્મ ના થાય. કર્તા કેમ ? આ આરોપિત ભાવમાં મુકામ કર્યો એટલે કર્તા થયો. પોતાના મૂળ સ્વભાવમાં આવે તો કર્તા છે જ નહીં. 'મેં કર્યુ' એમ કહ્યું એટલે કર્તા થયો. એટલે કર્મને આધાર આપ્યો. હવે પોતે કર્તા ના થાય તો કર્મ પડી જાય, નિરાધાર કરીએ તો કર્મ પડી જાય. એટલે કર્તાપણું છે ત્યાં સુધી કર્મ છે.

''છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ,

નહીં ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ''

- શ્રીમદ્ રાજચંદ્ર

અત્યારે તમે 'હું ચંદુલાલ છું' એવું માની બેઠા છો. એટલે એકાકાર થઈ ગયું છે. મહીં બે વસ્તુ જુદી છે. તમે જુદા ને ચંદુલાલ જુદા છે. પણ એ તમને ખબર નથી ત્યાં સુધી શું થાય ? જ્ઞાની પુરુષ ભેદવિજ્ઞાનથી જુદું પાડી આપે. પછી જ્યારે તમે જુદા પડો ત્યારે 'તમારે' કશું કરવાનું નહીં, એ ચંદુલાલ કર્યા કરે.

(૬) ભેદજ્ઞાન કોણ કરાવે ?

આત્મા-અનાત્માનું વૈજ્ઞાનિક વિભાજન !

આ વીંટીમાં સોનું અને તાંબું બે મહીં ભેગાં થયેલા હોય, એને આપણે ગામમાં ઘેર લઈ જઈએ કે 'ભઈ, આને છૂટું કરી આપોને !' તો બધા લોક કરી આપે ? કોઈ કરી આપે ?

પ્રશ્નકર્તા : સોની જ કરી આપે.

દાદાશ્રી : જેનો આ ધંધો છે, જે આમાં એક્સ્પર્ટ છે, તે સોનું અને તાંબું બન્ને જુદું કરી આપે, સો એ સો ટચનું સોનું જુદું કરી આપે. કારણ કે એ બેઉના ગુણધર્મ જાણે છે કે સોનાના આવાં ગુણધર્મ છે ને તાંબાના આવાં ગુણધર્મ છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માના ય ગુણધર્મ જાણે છે.

આ વીંટીમાં સોનું અને તાંબું મિક્ષ્ચર થઈ ગયું હોય છે, એટલે એને છૂટું પાડી શકાય. સોનું અને તાંબું એ બે કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોય, તો તે છૂટું પડી શકે નહીં. કારણ કે નહીં તો ગુણધર્મ જુદી જ જાતના થઈ જાય. એવી રીતે આની અંદર ચેતન અને અચેતન બધું મિક્ષ્ચર છે, એ કમ્પાઉન્ડ સ્વરૂપ થયેલું નથી. એટલે ફરી સ્વભાવને કાઢી શકાય. કમ્પાઉન્ડ થયું હોય તો જડત જ નહીં. ચેતનના ય ગુણધર્મ જડત નહીં ને અચેતનનાં ય ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી. એ તો મિક્ષ્ચર થયેલું છે ખાલી. એટલે જ્ઞાની પુરુષ આને છૂટૂં પાડી આપે તો આત્માની ઓળખાણ થાય.

જ્ઞાનવિધિ શું છે ?

પ્રશ્નકર્તા : આપકી જ્ઞાનવિધિ ક્યા હૈ ?

દાદાશ્રી : જ્ઞાનવિધિ તો સેપરેશન (છૂટું પાડવું) પુદ્ગલ અને આત્માનું ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ, બેનું સેપરેશન.

પ્રશ્નકર્તા : યે સિધ્ધાંત તો ઠીક હી હૈ લેકીન ઉસકી પદ્ધતિ ક્યા હૈ ?

દાદાશ્રી : આપવાનું એવું કશું હોતું નથી, અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે ('હું કોણ છું' એનું ભાન, જ્ઞાન કરાવવાનો બે કલાકનો જ્ઞાન-પ્રયોગ હોય છે. તેમાં પછી અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માનાં ભેદ પાડનારાં ભેદવિજ્ઞાનનાં વાક્યો બોલાવવામાં આવે છે. હવે તે બધાએ બોલવાના હોય છે. ત્યાર બાદ એક કલાક 'પાંચ આજ્ઞાઓ' દાખલા સાથે વિગતવાર સમજાવવામાં આવે છે, જે હવેે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું કે જેથી નવાં કર્મો બંધાય નહી, જૂના કર્મો સંપૂર્ણ પૂરાં થાય ને સાથે સાથે 'હું શુધ્ધાત્મા છું'નું લક્ષ કાયમ રહ્યાં કરે !)

જરૂર, ગુરુની ? જ્ઞાનીની ?

પ્રશ્નકર્તા : દાદા મળ્યા પહેલાં કોઈને ગુરુ માન્યા હોય તો ? તો એણે શું કરવું ?

દાદાશ્રી : તો એમને ત્યાં જવાનું ને ! અને ના જવું હોય તો જવું એવું ફરજિયાત નથી. આપણે જવું હોય તો જવાનું અને ના જવું હોય તો ના જવું. એમને દુઃખ ના થાય એટલા માટે ય જવું જોઈએ. આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ 'જ્ઞાન' લેતી વખતે મને કો'ક પૂછે કે, 'હવે હું ગુરુ છોડી દઉ ?' ત્યારેેે હું કહું કે 'ના છોડીશ અલ્યા. એ ગુરુના પ્રતાપે તો અહીં સુધી આવ્યો છે.' ગુરુને લઈને માણસ કંઈક મર્યાદામાં રહી શકે. ગુરુ ના હોયને, તો મર્યાદા ય ના હોય અને ગુરુને કહેવાય કે 'મને જ્ઞાની પુરુષ મળ્યા છે. એમના દર્શન કરવા જાઉ છું.' કેટલાક માણસો તો તેમના ગુરુને મારી પાસે હઉ તેડી લાવે છે. કારણ કે ગુરુને પણ મોક્ષ જોઇતો હોય ને ! સંસારનું જ્ઞાને ય ગુરુ વગર થાય નહીં અને મોક્ષનું જ્ઞાનેય ગુરુ વગર થાય નહી. વ્યવહારના ગુરુ વ્યવહાર માટે છે અને જ્ઞાની પુરુષ નિશ્ચયને માટે છેે. વ્યવહાર રિલેટિવ છેેે અને નિશ્ચય રિયલ છે. રિલેટિવ માટે ગુરુ જોઈએ અને રિયલ માટે જ્ઞાની પુરુષ જોઈએે.

(૭) મોક્ષનું સ્વરૂપ શું ?

ધ્યેય આટલો જ ઘટે !

પ્રશ્નકર્તા : કયો ધ્યેય હોવો જોઈએ માણસનો ?

દાદાશ્રી : મોક્ષે જવાનો જ ! એ જ ધ્યેય હોવો જોઈએ. તમારે ય મોક્ષે જ જવું છે ને ? ક્યાં સુધી ભટકવું ? અનંત અવતારથી ભટક ભટક.... કંઈ ભટકવામાં બાકી જ નથી રાખ્યું ને ! જાનવરગતિમાં, મનુષ્યગતિમાં, દેવગતિમાં, બધે ભટક ભટક ભટક જ કર્યુ છે. શાથી ભટકવાનું થયું ? કારણ કે 'હું કોણ છું' તે જ ના જાણ્યું. પોતાના સ્વરૂપને જ જાણ્યું નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. 'પોતે કોણ છે' એ ના જાણવું જોઈએ ? આટલું બધું ફર્યા તો ય ના જાણ્યું તમે ? એકલા પૈસા કમાવા પાછળ પડ્યા છો ? મોક્ષનું ય થોડુઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : કરવું જોઈએ.

દાદાશ્રી : એટલે સ્વતંત્ર થવાની જરૂર છે ને ? આમ પરવશ ક્યાં સુધી રહેવું ?

પ્રશ્નકર્તા : સ્વતંત્ર થવાની જરૂર નથી, પણ સ્વતંત્ર થવાની સમજની જરૂર છે એવું હું માનું છું.

દાદાશ્રી : હા, એ સમજની જ જરૂર છે. એ સમજ આપણે જાણીએ એટલે બહુ થઈ ગયું. ભલે સ્વતંત્ર ના થવાય, સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત છે. તો પણ સમજની જરૂર ખરી ને ? પહેલાં સમજ હાથમાં આવી ગઈ એટલે બહુ થઈ ગયું.

સ્વભાવમાં આવવા મહેનત નથી !

તે મોક્ષ એટલે પોતાના સ્વભાવ આવવું તે. અને સંસાર એટલે પોતાના વિશેષ ભાવમાં જવું તે. એટલે કયું સહેલું ? સ્વભાવમાં રહેવું તે. એટલે મોક્ષ અઘરો ના હોય. હંમેશાં ય સંસાર અઘરો હોય છે. એટલે મોક્ષ તો ખીચડી કરતાં ય સહેલો છે. આ ખીચડી બનાવવા માટે તો લાકડાં ખોળવાં પડે, દાળ-ચોખા ખોળવાં પડે, તપેલી ખોળવી પડે, પાણી ખોળું પડે. ત્યારે પછી ખીચડી થાય. જ્યારે મોક્ષ તો ખીચડી કરતાંય સહેલો છે. પણ મોક્ષદાતા જ્ઞાની મળવા જોઈએ. નહીં તો મોક્ષ ક્યારેય થાય નહીં. કરોડ અવતાર જાય તો ય એ થાય નહીં. બધાં અનંતા અવતાર થયેલા જ છે ને ?

મહેનતથી મોક્ષ મળે ના !

આ અમે કહીએ છીએ ને, કે અમારી પાસે આવીને મોક્ષ લઈ જાવ ! ત્યારે લોક મનમાં વિચારે છે કે 'એવો આપેલો મોક્ષ શું કામનો, આપણે મહેનત કર્યા વગરનો ?!' 'ત્યારે ભઈ, મહેનત કરીને લાવજો. જુઓ, એમની સમજણ કેવી સરસ (!) છે ?! બાકી, મહેનતથી કશું જ ન મળે. મહેનતથી કોઈ દહાડો કોઈને મોક્ષ મળ્યો નથી.

પ્રશ્નકર્તા : મોક્ષ આપી કે લઈ શકાય ખરો ?

દાદાશ્રી : એ આપવાનો-લેવાનો હોતો જ નથી. આ તો નૈમિત્તિક છે. તમે મને ભેગા થયા તે નિમિત્ત થયું. નિમિત્તની જરુર ખરી. બાકી, કોઈ આપનારો ય નથી ને કોઈ લેનારો પણ નથી. આપનાર કોને કહેવાય ? પોતાની ઘરની વસ્તુ આપે, તેને આપનારા કહેવાય. આ તો તમારા ઘરમાં જ મોક્ષ છે, તે અમારે દેખાડી દેવાનો હોય, રિયલાઈઝ કરી આપવાનું હોય. એટલે આપવા-લેવાનું હોતું જ નથી, ખાલી નિમિત્ત છે.

મોક્ષ એટલે સનાતન સુખ !

પ્રશ્નકર્તા : મોક્ષ મેળવીને કરવાનું શું ?

દાદાશ્રી : તે મને કેટલાંક લોકો મળે છે ત્યારે કહે છે, 'મારે મોક્ષ જોઈતો નથી.' પછી હું કહું કે, 'ભઈ, મોક્ષની જરૂર નથી. પણ તમને સુખ જોઈએ છે કે નહીં ? કે દુઃખ ગમે છે ?' ત્યારે એ કહે, 'ના. સુખ તો જોઈએ છે.' મેં કહ્યું, 'સુખ થોડુંઘણું ઓછું હોય તો ચાલશે ?' ત્યારે એ કહે, 'ના, સુખ તો પૂરેપૂરું જોઈએ.' ત્યારે મેં કહ્યું, 'તો આપણે સુખની જ વાત કરો ને ! મોક્ષની વાત જવા દો.' મોક્ષ એટલે શું વસ્તુ છે એ લોક સમજતું જ નથી. શબ્દથી બોલે એટલું જ છે. લોક એમ જાણે છે કે મોક્ષ નામનું કોઈ સ્થળ છે અને ત્યાં આગળ જઈને મોક્ષની આપણને મજા આવે છે ! પણ એવું નથી એ બધું.

મોક્ષ, બે સ્ટેજે !

પ્રશ્નકર્તા : મોક્ષનો અર્થ સાધારણ રીતે આપણે જન્મ-મરણમાંથી મુક્તિ એમ કરીએ છીએ.

દાદાશ્રી : હા, એ ખરું છે. પણ એ છેલ્લી મુક્તિ છે, એ સેકન્ડરી સ્ટેજ છે. પણ પહેલા સ્ટેજમાં, પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાં ય દુઃખ અડે નહીં, ઉપાધિમાં ય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે. પણ પહેલો મોક્ષ અહીં થવો જોઈએ. મારો મોક્ષ થઈ જ ગયેલો છે ને ! સંસારમાં રહે છતાં પણ સંસાર અડે નહીં એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે.

જીવતાં જ મુકિત !

પ્રશ્નકર્તા : હવે એ મુક્તિ કે મોક્ષ છે, તે જીવન મુક્તિ છે કે મર્યા પછીની મુક્તિ ?

દાદાશ્રી : મર્યા પછીની મુક્તિ શું કામની ? મર્યા પછી મુક્તિ મળશે એવું કહીને લોકો ફસાવે છે. અલ્યા, મને અહીં કંઈક દેખાડને ! સ્વાદ તો દેખાડ કંઈક, કંંઈક પુરાવો તો દેખાડ. ત્યાં મોક્ષ થશે, એનું શું ઠેકાણું ? એવો ઉધારિયો મોક્ષ આપણે શું કરવાનો ? ઉધારિયામાં ભલીવાર આવે નહીં. એટલું બધું કૅશ સારું. આપણને અહીં જીવતાં જ મુક્તિ થવી જોઈએ, જેમ જનક રાજાની મુક્તિ તમે સાંભળેલી કે નહીં ?

પ્રશ્નકર્તા : સાંભળેલી.

(૮) અક્રમ માર્ગ શું છે ?

અક્રમ જ્ઞાનથી અનોખી સિદ્ધિ !

પ્રશ્નકર્તા : પણ આ સંસારમાં રહી આત્મજ્ઞાન આમ મળી જાય ?

દાદાશ્રી : હા, એવો રસ્તો છે. સંસારમાં રહીને એટલું જ નહીં, પણ આ વાઈફ સાથે રહીને આત્મજ્ઞાન મળે એવું છે. એકલું સંસારમાં રહેવાનું નહીં, પણ છોકરાં-છોકરીઓ પરણાવીને, બધું કામ કરીને આત્મજ્ઞાન થઈ શકે છે. હું સંસારમાં રહીને જ તમને એ કરી આપું છું. સંસારમાં એટલે, સિનેમા જોવા જજો એમ બધી તમને છૂટ આપું. છોકરાં પૈણાવજો, છોડી પૈણાવજો અને સારાં કપડાં પહેરીને પૈણાવજો. પછી એથી વધારે બીજી ગેરેન્ટી જોઈએ છે કશી ?

પ્રશ્નકર્તા : એવી બધી છૂટ હોય તો તો જરૂર રહી શકાય.

દાદાશ્રી : બધી છૂટ ! આ અપવાદ માર્ગ છે. તમારે કંઈ મહેનત કરવાની નહીં. તમને આત્મા ય તમારા હાથમાં આપી દઈશું, તે પછી આત્માની રમણતામાં રહો અને લિફટમાં બેસી રહો. બીજું તમારે કશું ય કરવાનું નહીં. પછી તમને કર્મ જ બંધાય નહીં. એક જ અવતારના કર્મ બંધાશે, તે પણ મારી આજ્ઞા પાળવા પૂરતાં જ. અમારી આજ્ઞામાં રહેવાનું એટલા માટે જ કે લિફટમાં બેસતી વખતે જો કદી આઘોપાછો હાથ કરે તો મુશ્કેલીમાં મૂકાઈ જાય ને !

પ્રશ્નકર્તા : એટલે આવતો ભવ આવવાનો ખરો ?

દાદાશ્રી : ગયો ભવ હતો ને હજુ આવતો ભવેય છે. પણ આ જ્ઞાન એવું છે કે હજુ એક-બે અવતાર બાકી રહે છે. પહેલી અજ્ઞાનથી મુક્તિ થઈ જાય છે. પછી એક-બે અવતારમાં છેલ્લી મુક્તિ મળી જાય. એક અવતાર બાકી રહે એવો આ કાળ છે.

તો એક દહાડો તમે મારી પાસે આવજો. અમે એક દિવસ નક્કી કરીએ ત્યારે આવવાનું. તે દિવસ બધાનું દોરડું પાછળથી કાપી નાખીએ છીએ. રોજ રોજ નહીં કાપવાનું. રોજ રોજ તો પાછું બ્લેડ લેવા જવું પડે. રોજ તો વાતો બધી સત્સંગની. પણ એક દહાડો નક્કી કરીએ તે દિવસે બ્લેડથી આમ આંટો જ કાપી આપીએ. બીજું કંઈ નહીં. પછી તરત જ તમે સમજી જાવ કે આ બધું ય ખુલ્લું થઈ ગયું. છાતી ખુલી, એ અનુભવ થયો કે તે તરત જ કહે, છૂટો થયો. એટલે મુક્ત થયો છું એવું ભાન થવું જોઈએ. મુક્ત થવું એ ગપ્પું વાત નથી. એટલે તમને મુક્ત કરી આપીએ.

આ 'જ્ઞાન' આપીએ છીએ તે દહાડે શું થાય છે ? જ્ઞાનાગ્નિથી એનાં જે કર્મો છે તે ભસ્મીભૂત થઈ જાય છે. બે પ્રકારનાં કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને એક પ્રકારનાં કર્મો રહે છે. જે કર્મો વરાળરૂપે છે એનો નાશ થઈ જાય છે. અને જે કર્મો પાણીરૂપે છે, એનો પણ નાશ થઈ જાય છે અને જે કર્મો બરફરૂપે છે, તેેનો નાશ નથી થતો. બરફરૂપે છે એ કર્મો ભોગવવાં જ પડે છે. કારણ કે જામી ગયેલાં છે, કર્મ ફળ આપવાને માટે તૈયાર થઈ ગયું છે, એ છોડે નહીં પછી. પણ પાણીરૂપે અને વરાળરૂપે કર્મો હોય, એને જ્ઞાનાગ્નિ ઉડાડી મૂકે. એટલે જ્ઞાન મળતાં જ એકદમ હલકાં થઈ જાય છે લોકો, એમને જાગૃતિ એકદમ વધી જાય છે. કારણ કે કર્મો ભસ્મીભૂત થાય નહીં ત્યાં સુધી જાગૃતિ વધે જ નહીં માણસને ! આ બરફરૂપેનાં કર્મો તો આપણે ભોગવવાનાં જ રહ્યાં. અને તે ય પાછાં સરળ રીતે કેમ ભોગવાય, એનાં બધા રસ્તા અમે બતાડ્યા છે કે 'ભઈ, આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલજે, ત્રિમંત્ર બોલજે, નવ કલમો બોલજે.'

અમે જ્ઞાન આપીએ, એનાથી કર્મ ભસ્મીભૂત થઈ જાય છે અને તે ઘડીએ ઘણાં આવરણો તૂટી જાય છે. ત્યારે ભગવાનની કૃપા થતાંની સાથે જ એ પોતે જાગૃત થઈ જાય છે. એ જાગૃતિ પછી જતી નથી, જાગ્યા પછી એ જતી નથી. નિરંતર જાગૃત રહેવાય. એટલે નિરંતર પ્રતિતિ રહેવાની જ. પ્રતિતિ ક્યારે રહે ? જાગૃતિ છે તો પ્રતિતિ રહે. પહેલી જાગૃતિ, પછી પ્રતિતિ. તે અનુભવ, લક્ષ અને પ્રતિતિ આ ત્રણ રહે. પ્રતિતિ કાયમની રહે. લક્ષ છે તે અમુક ટાઈમ રહે. કંઈક ધંધામાં કે કામમાં પડ્યા કે પાછું લક્ષ ચૂકી જવાય અને કામમાંથી મુક્ત થાય કે પાછું લક્ષમાં આવી જાય. અને અનુભવ તો ક્યારે થાય કે કામમાંથી, બધાથી પરવારી અને એકાંતમાં બેઠાં હોય ત્યારે અનુભવનો સ્વાદ આવે. જો કે અનુભવ તો વધ્યા જ કરે. કારણ કે પહેલાં ચંદુલાલ શું હતા અને આજે ચંદુલાલ શું છે એ સમજાય. ત્યારે એ ફરે શાને લઈને ? આત્મ અનુભવથી. પહેલાં દેહાધ્યાસનો અનુભવ હતો અને આ આત્મ અનુભવ છે.

પ્રશ્નકર્તા : આત્માનો અનુભવ થઈ જાય એટલે શું થાય ?

દાદાશ્રી : આત્માનો અનુભવ થઈ ગયો એટલે દેહાધ્યાસ છૂટી ગયો. દેહાધ્યાસ છૂટી ગયો એટલે કર્મ બંધાતાં અટકી ગયાં. એને સંવર રહે. પછી શું જોઈએ વધારે ?

આત્મા-અનાત્મા વચ્ચે ભેદરેખા !

આ અક્રમ વિજ્ઞાન છે એટલે આટલું જલદી સમકિત થાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં આજે સમકિત થાય એવું છે જ નહીં. આ અક્રમ વિજ્ઞાન તો બહુ ઊંચી જાતનું વિજ્ઞાન છે. આત્મા ને અનાત્મા વચ્ચે એટલે તમારી ને પારકી ચીજ એમ બે વહેંચણી કરી આપીએ. આ તમારો ભાગ અને આ ભાગ તમારો નહીં, ને વચ્ચે લાઈન ઑફ ડિમાર્કેશન નાખી, બાણહદ મારી આપું ત્યાં. પછી પાડોશીના ખેતરના ભીંડા આપણાથી ખવાય નહીં ને !

માર્ગ : ક્રમ અને અક્રમ !

તીર્થંકરોનું જે જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન છે. ક્રમિક એટલે પગથિયે, પગથિયે ચઢવાનું. જેમ જેમ પરિગ્રહ ઓછાં કરતાં કરતાં જાવ ત્યારે તેમ તેમ મોક્ષે પહોંચાડે, તે ય ઘણાં કાળે અને આ અક્રમ વિજ્ઞાન એટલે શું ? પગથિયાં નહીં ચઢવાનાં, લિફટમાં બેસી જવાનું ને બારમે માળે ચઢી જવાનું, એવો આ લિફટમાર્ગ નીક્ળ્યો છે. તે આ લિફટમાર્ગમાં જે બેસી ગયા, તેનું કલ્યાણ થઈ ગયું. હું તો નિમિત્ત છું. આ લિફટમાં જે બેઠાં એનો ઉકેલ આવી જાય ને ! ઉકેલ તો લાવવો જ પડશેને ? આપણે મોક્ષે જવાના જ છીએ, તે લિફટમાં બેઠાની ખાતરી પાછી થવી જોઈએ કે ના થવી જોઈએ ? એની ખાતરી એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. એટલે પૂર્ણ કામ થઈ ગયું ને ?

'મને' મળ્યો તે અધિકારી !

પ્રશ્નકર્તા : આ માર્ગ આવો સહેલો છે, તો પછી કોઈ અધિકાર જેવું જોવાનું જ નહીં ? ગમે તેને માટે એ શક્ય ?

દાદાશ્રી : લોકો મને પૂછે કે, 'હું અધિકારી ખરો ?' ત્યારે મેં કહ્યું, 'મને મળ્યો માટે તું અધિકારી.' આ મળવું એ સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આની પાછળ. એટલે અમને જે કોઈ માણસ ભેગો થાય, એને અધિકારી માનવામાં આવે છે. ના ભેગો થયો એ અધિકારી નહીં. એ ભેગો શા આધારે થાય છે ? એ અધિકારી છે તેના આધારે મને ભેગો થાય છે. મને ભેગો થાય છતાં એને પ્રાપ્તિ ના થાય, તો પછી એને અંતરાયકર્મ નડે છે.

ક્રમમાં કરવાનું ને અક્રમમાં....

એક ભાઈએ એક ફેર પ્રશ્ન પૂછયો કે ક્રમ ને અક્રમમાં ફેર શો ? ત્યારે મેં કહ્યું કે, ક્રમ એટલે બધાં કહે કે આ અવળું છોડો ને સવળું કરો. બધાં એ જ કે'કે' કર્યા કરે, એનું નામ ક્રમિક માર્ગ. ક્રમ એટલે બધાં છોડવાનું કહે, આ કપટ-લોભ છોડો ને સારું કરો. એ જ તમે જોયું ને અત્યાર સુધી ?! અને આ અક્રમ એટલે કરવાનું નહીં. કરોમિ-કરોસિ-કરોતિ નહીં ! ગજવું કાપે, તો અક્રમમાં કહેશે, 'એણે કાપ્યું નથી ને મારું કપાયું નથી' અને ક્રમમાં તો એમ કહે કે, 'એણે કાપ્યું અને મારું કપાયું ?'

અક્રમ વિજ્ઞાન એ લોટરી જેવું છે. લોટરીમાં ઈનામ મળે, એમાં એણે કંઈ મહેનત કરી હતી ? રૂપિયો એણે ય આપ્યો હતો ને બીજા લોકોએ ય રૂપિયો આપ્યો હતો, પણ એનું ચાલી ગયું. એવું આ અક્રમ વિજ્ઞાન તરત જ મોક્ષ આપી દે છે, રોકડો જ !

અક્રમથી આમૂલ પરિવર્તન !

અક્રમ વિજ્ઞાન તો બહુ મોટી અજાયબી કહેવાય. આ જ્ઞાન લીધા પછી માણસ બીજે દહાડે ફેરફાર થઈ જાય. આ સાંભળતા જ લોકો માની જાય. અહીં ખેંચાઈ આવે.

અક્રમ માર્ગ વિશ્વભરમાં !

આ તો સંયોગ બહુ ઊંચી જાતનો કે આવું કોઈ જગ્યાએ બન્યું નહીં. એક જ માણસ 'દાદા' એકલા જ કામ કરી શકયા. બીજું કોઈ કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : એ પછી દાદાની કૃપા ને ?

દાદાશ્રી : એ તો ચાલ્યા કરશે. મારી ઇચ્છા છે કે જે પણ કોઈ તૈયાર થઈ જાય ને, પાછળ માર્ગ ચલાવનાર જોઈએ ને ?

પ્રશ્નકર્તા : જોઈએ ને !

દાદાશ્રી : પણ મારી ઈચ્છા પૂરી થઈ જશે.

પ્રશ્નકર્તા : 'અક્રમ વિજ્ઞાન' જો ચાલુ રહેશે, તો એ નિમિત્તથી ચાલુ રહેશે !

દાદાશ્રી : 'અક્રમ વિજ્ઞાન' જ ચાલવાનું. અક્રમ વિજ્ઞાન તો, હજુ તો વર્ષ-બે વર્ષ જો આવું ને આવું ચાલ્યું તો ઠેઠ દુનિયામાં બધી વાતો જ આની ચાલશે અને પહોંચી જશે ઠેઠ. કારણ કે જૂઠી વાત મોંભારે ચઢીને બોલે છે. તેમ સાચી વાત મોંભારે ચઢીને બોલે. સાચી વાતનો મોડો અમલ થાય ને જૂઠી વાતનો તો અમલ વહેલો થાય.

અક્રમ થકી સ્ત્રીનો પણ મોક્ષ !

ત્યારે લોકો કહે મોક્ષ પુરુષનો જ થાય, સ્ત્રીઓનો મોક્ષ નહીં. એ હું એમને કહું છું કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કેમ ન થાય ? ત્યારે કહે, એમની કપટની ને મોહની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષને આવડી નાની ગાંઠ હોય તો એમની આવડી મોટી સુરણ જેવડી હોય.

સ્ત્રી પણ મોક્ષે જશે. ભલે બધા ના કહેતા હોય, પણ સ્ત્રી મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવ્યા છે, તે એનો પણ ઉકેલ આવશે પણ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગશે !

કામ કાઢી લો !

આપણું કામ કાઢી લેજો, જ્યારે જરૂર હોય ત્યારે. એવું ય નથી કે તમે આવજો જ. તમને ઠીક લાગે તો આવજોને ! અને સંસાર ગમતો હોય, પોસાતો હોય ત્યાં સુધી એ વેપાર ચાલુ રાખો. અમારે તો એવું ના હોય કે આમ જ કરો. અને અમે તમને કાગળ લખવા ના આવીએ. અહીં આવ્યા હોય તો તમને કહીએ કે, 'ભઈ, આમ લાભ ઉઠાવો.' આટલું જ કહીએ તમને. હજારો વર્ષથી આવું વિજ્ઞાન ઊભું થયું નથી. માટે હું કહું છું કે પાછળ હવે જે થવાનું હોય તે થાવ પણ આ કામ કાઢી લેવા જેવું છે.

(૯) 'જ્ઞાની પુરુષ' કોણ ?

સંત પુરુષ : જ્ઞાની પુરુષ !

પ્રશ્નકર્તા : આ તો સંતો બધા જે થઈ ગયા એ અને જ્ઞાનીમાં અંતર કેટલું ?

દાદાશ્રી : સંત કોનું નામ ? કે જે નબળું છોડાવડાવે ને સારું પકડાવે. ખોટું કરવાનું છોડાવડાવે અને સારું કરવાનું પકડાવે, એનું નામ સંત કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે પાપકર્મથી બચાવે છે, એ સંત ?

દાદાશ્રી : હા, પાપકર્મથી બચાવે એ સંત, પણ પાપ-પુણ્ય બન્નેથી બચાવે, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય.

સંત પુરુષ સાચે રસ્તે ચઢાવે અને જ્ઞાની પુરુષ મુક્તિ અપાવે. સંતો તો વટેમાર્ગુ કહેવાય. વટેમાર્ગુ એટલે એ પોતે ચાલે અને બીજા વટેમાર્ગુને કહેશે, 'હેંડો, તમે મારી જોડે.' અને જ્ઞાની પુરુષ તો છેલ્લું સ્ટેશન કહેવાય, ત્યાં તો આપણું કામ જ કાઢી નાખે.

સાચો, તદ્દન સાચો સંત કોણ ? જે મમતા રહિત હોય. તે બીજા ઓછાવત્તી મમતાવાળા હોય છે, ને સાચો જ્ઞાની કોણ ? કે જેને અહંકાર ને મમતા બેઉ ના હોય.

એટલે સંતોને જ્ઞાની પુરુષ ના કહેવાય. સંતોને આત્માનું ભાન ના હોય. એ સંતો તો પાછાં જ્ઞાની પુરુષને મળશે ત્યારે એમનો ઉકેલ આવશે. સંતોને ય આની જરૂર. બધાને અહીં આવું પડે, છૂટકો જ નહીં ને ! દરેકની ઈચ્છા આ હોય.

જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષ એટલે પ્રગટ દીવો કહેવાય.

જ્ઞાની પુરુષની ઓળખાણ !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ઓળખવા કેવી રીતે ?

દાદાશ્રી : કેવી રીતે ઓળખશો ? જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાય એવાં હોય. એમની સુગંધી જ ઓળખાય એવી હોય. એમનું વાતાવરણ ઓર જાતનું હોય. એમની વાણી ઓર જાતની હોય. એમના શબ્દો ઉપરથી ખબર પડી જાય. અરે, એમની આંખ જોઈને જ ખબર પડી જાય. બાકી, જ્ઞાની પાસે તો બહુ ખાતરી હોય, જબરજસ્ત ખાતરી ! અને એમનો શબ્દેશબ્દ શાસ્ત્રરૂપે હોય, જો સમજણ પડે તો એમના વાણી-વર્તન ને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. એટલે બધા બહુ લક્ષણો હોય.

જ્ઞાની પુરુષમાં બુદ્ધિનો છાંટો ના હોય ! એ અબુધ હોય. હવે બુદ્ધિનો છાંટો ના હોય એવા કેટલાં હોય ? કો'ક ફેરો કો'ક જન્મ હોય એ, અને ત્યારે લોકોનું ત્યાં કલ્યાણ થઈ જાય, ત્યાં લાખો માણસ તરી પાર નીકળી જાય. જ્ઞાની પુરુષ અહંકાર સિવાયના હોય, સહેજે ય અહંકાર ના હોય. હવે અહંકાર રહિત તો આ જગતમાં કોઈ માણસ હોય નહીં. એકલાં જ્ઞાની પુરુષ જ અહંકાર રહિત હોય.

જ્ઞાની પુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે. બાકી, સંતો-શાસ્ત્રજ્ઞાનીઓ તો બધા બહુ હોય. એટલે આપણે અહીં તો શાસ્ત્રના જ્ઞાનીઓ ઘણાં બધા છે, પણ આત્માના જ્ઞાનીઓ નથી. જે આત્માના જ્ઞાની હોય ને, તે તો પરમ સુખી હોય અને દુઃખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જયાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય, તે આપણું કલ્યાણ કરે. પોતે તર્યા, તે આપણને તારે. નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય, તે ક્યારેય તારે નહીં.

(૧૦) શ્રી દાદા ભગવાન કોણ ?

'હું' ને 'દાદા ભગવાન' નહિ એક રે !

પ્રશ્નકર્તા : તો આપ ભગવાન કેવી રીતે કહેવડાવો છો ?

દાદાશ્રી : 'હું' પોતે ભગવાન નથી. ભગવાનને, દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર છું અને 'દાદા ભગવાન' ત્રણસોને સાઠ ડિગ્રીએ છે. તે મારે ચાર ડીગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : એ શા માટે ?

દાદાશ્રી : કારણ કે મારે તો ચાર ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશે ને ? ચાર ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે ?

પ્રશ્નકર્તા : આપને ભગવાન થવાનો મોહ ખરો ?

દાદાશ્રી : મને તો ભગવાન થવું, એ તો બહુ બોજારૂપ લાગે. હું તો લઘુતમ પુરુષ છું. આ વર્લ્ડમાં ય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે !

પ્રશ્નકર્તા : ભગવાન થવું ના હોય તો પછી આ ચાર ડિગ્રી પૂરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો ?

દાદાશ્રી : એ તો મારે મોક્ષે જવા માટે. મારે ભગવાન થઈને શું કાઢવાનું ? ભગવાન તો ભગવત્ ગુણો ધરાવતો હોય, એ બધાય ભગવાન થાય. ભગવાન એ વિશેષણ છે. ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને, લોક એને ભગવાન કહે જ.

અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ !

પ્રશ્નકર્તા : 'દાદા ભગવાન' શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ?

દાદાશ્રી : 'દાદા ભગવાન' માટે ! મારે માટે નથી, હું તો જ્ઞાની પુરુષ છું.

પ્રશ્નકર્તા : કયા ભગવાન ?

દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાં ય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રીતે રહેલા છે અને અહીં વ્યકત થયેલા છે. તે વ્યકત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તો ય કામ નીકળી જાય એવું છે. પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય અને સાંસારિક ચીજોની જો અડચણ હોયને તો તે ય દૂર થઈ જાય. પણ એમાં લોભ નહીં કરવાનો અને લોભ કરવા જાય તો પાર જ ના આવે. આપને સમજ પડી, દાદા ભગવાન શું છે એ ?

આ દેખાય છે એ 'દાદા ભગવાન' ન્હોય. તમે આ દેખાય છે, એને 'દાદા ભગવાન' જાણતાં હશો, નહીં ? પણ આ દેખાય છે, એ તો ભાદરણના પટેલ છે, હું 'જ્ઞાની પુરુષ' છું. અને આ 'દાદા ભગવાન' તો મહીં બેઠા છે ને, મહીં પ્રગટ થયેલા છે તે છે. ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા છે, તે જાતે મેં જોયેલા છે, જાતે અનુભવેલા છે. એટલે હું ગેરેન્ટીથી કહું છું કે એ મહીં પ્રગટ થયેલા છે.

અને આ વાત કોણ કરે છે ? ટેપરેકર્ડ વાત કરે છે. કારણ કે 'દાદા ભગવાન'માં બોલવાની શક્તિ નથી અને આ 'પટેલ' તો ટેપરેકર્ડના આધારે બોલે છે. કારણ કે 'ભગવાન' અને 'પટેલ' બેઉ છૂટા પડ્યા એટલે ત્યાં આગળ અહંકાર કરી શકે નહીં. એ ટેપરેકર્ડ બોલે છે, એનો હું જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. તમારી ય ટેપરેકર્ડ બોલે છે, પણ તમારા મનમાં 'હું બોલ્યો' એવો તમને ગર્વરસ ઉત્પન્ન થાય છે. બાકી, અમારે પણ દાદા ભગવાનને નમસ્કાર કરવા પડે. અમારે દાદા ભગવાન જોડે જુદાપણાનો વ્યવહાર જ છે. વ્યવહાર જ જુદાપણાનો છે. ત્યારે લોકો એમ જાણે કે એ પોતે જ દાદા ભગવાન છે. ના, પોતે દાદા ભગવાન કેવી રીતે થાય ? આ તો પટેલ છે ભાદરણના.

(૧૧) 'અક્રમ માર્ગ' ચાલુ જ છે !

પાછળ જ્ઞાનીઓની વંશાવળી !

અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું, અમારા વારસદાર મૂકતા જઈશું અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિ ખોળજો. એના વગર ઉકેલ આવે તેમ નથી.

હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?

જેને જગત સ્વીકારશે, તેનું ચાલશે !

પ્રશ્નકર્તા : આપ કહો છો કે મારી પાછળ ચાલીસ-પચાસ હજાર રડનારા હશે, પણ શિષ્ય એકુંય નહીં હોય. એટલે તમે શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : મારો શિષ્ય કોઈ નહીં હોય. આ કંઈ ગાદી નથી. ગાદી હોય તો વારસદાર થાયને ! તમે પિતરાઈ તરીકે વારસદાર થવા આવો ! અહીં તો જેનું ચાલશે તેનું ચાલશે. જે બધાનો શિષ્ય થશે, તેનું કામ થશે. અહીં તો લોકો જેને સ્વીકારશે, તેનું ચાલશે. જે લઘુતમ થશે, તેને જગત સ્વીકારશે !

(૧૨) આત્મદ્રષ્ટિ થયા પછી...

આત્મા પ્રાપ્તિનાં લક્ષણો !

'જ્ઞાન' મળ્યું પહેલાં તમે ચંદુભાઈ હતા ને અત્યારે જ્ઞાન લીધા પછી શુધ્ધાત્મા થયા, તેમાં કંઈ અનુભવમાં ફેર લાગે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : 'હું શુધ્ધાત્મા છું' એ ભાન તમને કેટલો વખત રહે છે ?

પ્રશ્નકર્તા : એકાંતમાં એકલાં બેઠા હોય ત્યારે.

દાદાશ્રી : હા. પછી કયો ભાવ રહે છે ? તમને 'હું ચંદુભાઈ છું' એવો ભાવ આવે છે કોઈ વખત ? તમને રિયલી 'હું ચંદુભાઈ છું' એવો કોઈ દિવસ ભાવ થયેલો ?

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નથી થયો.

દાદાશ્રી : તો એ તમે શુધ્ધાત્મા જ છો. માણસને એક જ ભાવ હોય. એટલે 'શુધ્ધાત્મા છું' એ તમને નિરંતર રહે છે જ.

પ્રશ્નકર્તા : પણ ઘણીવાર વ્યવહારમાં શુધ્ધાત્માનું ભાન નથી રહેતું.

દાદાશ્રી : તો 'હું ચંદુભાઈ છું' એનું ધ્યાન રહે છે ? ત્રણ કલાક શુધ્ધાત્માનું ધ્યાન ના રહ્યું અને ત્રણ કલાક પછી પૂછે, તમે ચંદુભાઈ છો કે શુધ્ધાત્મા છો ? ત્યારે શું કહો ?

પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા.

દાદાશ્રી : એટલે એ ધ્યાન હતું જ. એક શેઠ હોય, દારુ પીધો હોય તે વખતે ધ્યાન બધું જતું રહે. પણ દારુ ઊતરી જાય ત્યારે ?

પ્રશ્નકર્તા : પાછાં જાગૃત થઈ જાય.

દાદાશ્રી : એવું આ બીજી બહારની અસર છે.

હું પૂછું કે ખરેખર ચંદુભાઈ છો કે શુધ્ધાત્મા છો ? ત્યારે તમે કહો કે 'શુધ્ધાત્મા'. બીજે દહાડે તમને પૂછું કે 'તમે ખરેખર કોણ છો ?' ત્યારે તમે કહો કે 'શુધ્ધાત્મા'. પાંચ દહાડા સુધી હું પૂછું, એટલે પછી હું સમજી જઉંને, કે તમારી કંૂચી મારી પાસે છે. પછી તમે બૂમો પાડો તો ય હું ગાંઠું નહીં. છોને, બૂમો પાડે.

આવ્યું અપૂર્વ ભાન !

આને શ્રીમદ્ રાજચંદ્ર શું કહે છે ? કે ''સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.'' પૂર્વે દેહાધ્યાસનું જ ભાન હતું. પૂર્વે દેહાધ્યાસ રહિતનું ભાન અમને હતું નહીં. તે અપૂર્વ ભાન તે આત્માનું ભાન અમને આવ્યું. જે પોતાનું નિજપદ હતું કે 'હું ચંદુભાઈ છું' એમ બોલતો હતો, એ હવે 'હું' નિજમાંહી બેસી ગયું. જે નિજપદ હતું, તે નિજમાં બેસી ગયું અને જે અજ્ઞાન હતું, 'હું ચંદુભાઈ છું' એ અજ્ઞાન દૂર થઈ ગયું.

એ દેહાધ્યાસ કહેવાય !

આખા જગતને દેહાધ્યાસ છૂટે નહીં અને પોતાના સ્વરૂપમાં રહી શકે નહીં. આ તમે સ્વરૂપમાં રહ્યા એટલે ઈગોઈઝમ ગોન, મમતા ગઈ. 'હું ચંદુભાઈ છું' એ દેહાધ્યાસ કહેવાય અને 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ બેઠું ત્યાંથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો. હવે કશું રહ્યું નથી. તો ય ભૂલચૂક થાય ને, તો સહેજ ગૂંગળામણ થાય.

શુધ્ધાત્માપદ શુદ્ધ જ !

એટલે આ 'જ્ઞાન' લીધા પછી પહેલાં જે ભ્રાંતિ હતી કે 'હું કરું છું', એ ભાન તૂટી ગયું. એટલે શુદ્ધ જ છું, એ ભાન રહેવા માટે શુધ્ધાત્મા કહ્યો. ગમે તેવું થાય કોઈની જોડે, ચંદુભાઈ ગાળો ભાંડી દે, તો ય તમે શુદ્ધ છો. પછી 'આપણે' ચંદુભાઈને કહેવું જોઈએ કે 'ભઈ, આમને દુઃખ થાય એવું શું કરવા અતિક્રમણ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો.'

કો'કને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય, ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય. ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રતિક્રમણ એટલે તમને સમજણ પડે એ રીતે એની માફી માંગવાની છે. આ દોષ કર્યો એ મને સમજાયો ને હવે ફરી આવો દોષ નહીં કરું એવું ડીસાઈડ કરવું જોઈએ. આ આવું કર્યું તે ખોટું કર્યું, આવું ના થાય, પાછો આવું ફરી નહીં કરું, એવી પ્રતિજ્ઞા લેવાની. છતાં ય પાછું ફરી થાય અને ફરી એનો એ જ દોષ આવે તો ફરી પસ્તાવો કરવાનો, પણ જેવું દેખાયું એનો પસ્તાવો કર્યો, એટલું ઓછું થઈ ગયું, એમ ધીમે ધીમે ખલાસ થઈ જાય છેવટે.

પ્રશ્નકર્તા : એટલે (કોઈ પણ) વ્યક્તિ માટે પ્રતિક્રમણ કેવી રીતે કરવાના ?

દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકમ-દ્રવ્યકર્મ-નોકર્મ,(એ વ્યક્તિનું) નામ તથા તેના નામની સર્વ માયાથી, નોખા એવા એના શુધ્ધાત્માને સંભારવાના, ને પછી આવી ભૂલો કરેલી તે યાદ કરવાની (આલોચના), તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ), તેવી ભૂલો નહીંં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). 'આપણે' પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર કર્યાં અને કેટલીવાર કર્યાં.

પ્રજ્ઞા મહીંથી ચેતવે !

આ વિજ્ઞાન છે એટલે આપણને તેનો અનુભવ થાય અને મહીં અંદરથી જ ચેતવશે. હવે પેલું તો આપણે કરવા જવું પડે અને આ અંદરથી જ ચેતવે.

પ્રશ્નકર્તા : હવે અંદરથી ચેતવણી મળે છે એ અનુભવ થયો છે.

દાદાશ્રી : હવે આપણને આ માર્ગ મળી ગયો અને શુધ્ધાત્માની જે બાઉન્ડ્રી છે, તેનાં પહેલાં જ દરવાજાની અંદર પ્રવેશ થઈ ગયો. જ્યાંથી કોઈ પાછું ન કાઢી શકે. કોઈને પાછાં કાઢવાનો અધિકાર નથી, એવી જગ્યાએ તમે પેઠા !

વારે ઘડીએ ચેતવ ચેતવ કોણ કરે છે ? પ્રજ્ઞા ! 'જ્ઞાન' મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં. અગર તો સમકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સમકિતમાં પ્રજ્ઞાની શરૂઆત કેવી રીતે થાય ? બીજના ચંદ્રમા જેવી શરૂઆત થાય. તે આપણા અહીં તો આખી ફુલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે જ એ ચેતવે છે. ત્યારે ભરતરાજાને તો ચેતવનારા રાખવા પડેલા, નોકર રાખવા પડેલા. તે પંદર પંદર મિનીટે બોલે કે 'ભરતરાજા, ચેત ચેત ચેત.' ત્રણ વખત બોલે. જો તમારે તો મહીંથી જ પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે, કે 'એ ય આમ નહીં.' આખો દહાડો ચેતવ ચેતવ જ કરે. અને એ જ આત્માનો અનુભવ! નિરંતર આખો દહાડો એ આત્માનો અનુભવ.

અનુભવ મહીં હોય જ !

જે રાતે જ્ઞાન આપીએ છીએ તે રાતનો જે અનુભવ છે એ જતો નથી. શી રીતે ખસે પછી ?! અમે જે દહાડે જ્ઞાન આપ્યું હતુંને, તે રાતનો જે અનુભવ હતો તે જ કાયમને માટે છે. પણ પછી આ તમારા કર્મો ફરી વળે છે, પૂર્વકર્મો, જે ભોગવટો બાકી રહ્યો છે એ માગતાવાળા ફરી વળે, તેમાં હું શું કરું ?

પ્રશ્નકર્તા : દાદા, પણ હવે એવો ભોગવટો લાગતો નથી.

દાદાશ્રી : ના. એ નથી લાગતો એ જુદી વાત છે. પણ માગતાવાળા વધારે હોય તેને વધારે ફરી વળે. પાંચ માગતાવાળાને પાંચ, બે વાળાને બે, અને વીસવાળાને વીસ. મેં તો તમને શુધ્ધાત્મા પદમાં મૂકી દીધા, પણ પછી માગતાવાળા બીજે દહાડે આવે એટલે સફોકેશન જરા થાય.

હવે રહ્યું શું બાકી ?

પેલું ક્રમિક વિજ્ઞાન છે અને આ અક્રમ વિજ્ઞાન છે. આ જ્ઞાન તો વીતરાગોનું જ છે. જ્ઞાનમાં ફેર નથી. અમે જ્ઞાન આપીએ પછી તમને આત્મ અનુભવ થઈ જાય તો શું કામ બાકી રહે ? જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને અમારી આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં, એવું આ અક્રમ વિજ્ઞાન છે.

બાકી જો એકાવતારી થવું હોય તો અમારા કહ્યા પ્રમાણે આજ્ઞામાં ચાલોને. તો એક અવતારી આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે તો ય પણ અહીંથી સીધા મોક્ષે જવાય એવું નથી.

મોક્ષમાર્ગમાં, આજ્ઞા એ જ ધર્મ.....

જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતાં હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા બેની જ જરૂર છે.

મોક્ષમાર્ગમાં તપ-ત્યાગ કશું કરવાનું હોય નહીં. માત્ર જો જ્ઞાની પુરુષ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ અને એ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે, જેનું પ્રત્યક્ષ ફળ મોક્ષ છે.

'જ્ઞાની' પાસે પડી રહેવું !

જ્ઞાની ઉપર કોઈ દહાડો પ્રેમભાવ આવ્યો નથી. અને જ્ઞાની ઉપર પ્રેમભાવ આવ્યો ને, ત્યાંથી જ બધો ઉકેલ આવી જાય. દરેક અવતારમાં બૈરી છોકરા સિવાય બીજું કશું હોય જ નહીં ને !

ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ પાસેથી સમકિત થયા પછી જ્ઞાની પુરુષની પાછળ પડજો.

પ્રશ્નકર્તા : ક્યા અર્થમાં પાછળ પડવાનું ?

દાદાશ્રી : ક્યા અર્થમાં એટલે, આ જ્ઞાન મળ્યા પછી બીજું આરાધન ના હોય. પણ એ તો અમે જાણીએ કે આ અક્રમ છે. આ લોકો પાર વગરની ફાઈલો લઈને આવેલા છે એટલે તમને ફાઈલોને માટે છૂટા કર્યાં છે. પણ તેનો અર્થ એવો નહીં કે કામ થઈ ગયું. આજકાલ ફાઈલો પુષ્કળ છે તો તમને મારે ત્યાં રાખું તો તમારી ફાઈલો બોલાવવા આવે. એટલે છૂટ આપી કે ઘરે જઈને ફાઈલોનો સમભાવે નિકાલ કરો. નહીં તો પછી જ્ઞાનીની પાસે જ પડી રહેવું જોઈએ.

બાકી, આપણાથી હવે પૂરેપૂરો લાભ નથી લેવાતો, એ તો નિરંતર રાત-દહાડો ખંૂચ્યા કરવું જોઈએ. ભલે ફાઈલો છે અને એ તો જ્ઞાની પુરુષે કહ્યું છે ને, આજ્ઞા કરી છે ને કે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો, તે આજ્ઞા એ જ ધર્મ છે ને ? એ તો આપણો ધર્મ છે. પણ આ ખંૂચ્યા કરવું તો જોઈએ, કે આવી ફાઈલો ઘટે કે જેથી કરીને હું લાભ ઊઠાવી લઉં.

એને તો સામું આવે મહાવિદેહ ક્ષેત્ર !

જેને અહીં શુધ્ધાત્માનું લક્ષ બેઠું હોય, તે અહીં આગળ ભરતક્ષેત્રે રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે ! અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુધ્ધાત્માનું લક્ષ બેઠું, તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરના દર્શન કરી મોક્ષે ચાલ્યા જાય, એવો સહેલો સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ ! સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે, પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય પણ ત્યાર હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાવ.

(૧૩) પાંચ આજ્ઞાની મહત્તા !

'જ્ઞાન' પછી કઈ સાધના ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી હવે કઈ જાતની સાધના કરવી ?

દાદાશ્રી : સાધના તો, આ પાંચ આજ્ઞા પાળે છે ને, એ જ ! હવે બીજી કોઈ સાધના ના હોય. બીજી સાધના બંધનકારક છે. આ પાંચ આજ્ઞા છોડાવનારી છે.

સમાધિ વર્તાવે એવી આજ્ઞાઓ !

પ્રશ્નકર્તા : આપણી જે પાંચ આજ્ઞા છે, એનાથી પર એવું કંઈ ખરું ?

દાદાશ્રી : પાંચ આજ્ઞાની એક વાડ છે તમને, તે આ તમારો માલ મહીં ચોરી ના ખાય કોઈ, એ વાડ તમે રાખી મેલો તો મહીં એક્ઝેક્ટ અમે આપ્યું એનું એ જ રહેશે અને વાડ ઢીલી થઈ, તે કોઈ પેસી જઈને બગાડશે. તે પાછું મારે રીપેર કરવા આવવું પડે. એટલે આ પાંચ આજ્ઞામાં રહે ત્યાં સુધી નિરંતર સમાધિની અમે ગેરન્ટી આપીએ છીએ.

હું પાંચ વાક્ય તમને પ્રોટેક્શન માટે આપું છું. આ જ્ઞાન તો મેં તમને આપ્યું અને ભેદજ્ઞાન જુદું ય પાડ્યું. પણ હવે એ જુદું થયેલું રહે પાછું, એટલે પ્રોટેક્શન આપું છું કે જેથી કરીને આ કાળ જે કળિયુગ છે ને, તે કળિયુગના લૂંટી ના લે બધા. બોધબીજ ઊગે તો પાણી ને બધું છાંટવું પડે ને ? વાડોળિયું મૂકવું પડે કે ના મૂકવું પડે ?

દ્રઢ નિશ્ચય જ પળાવે આજ્ઞા !

દાદાની આજ્ઞા પાળવી છે એ જ મોટામાં મોટી વસ્તુ છે. અમારી આજ્ઞા પાળવાનું નક્કી કરવું જોઈએ. તમારે આજ્ઞા પળાય છે કે નહીં તે જોવાનું નથી. આજ્ઞા જેટલી પળાય એટલી સાચી, પણ આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી છે.

પ્રશ્નકર્તા : ઓછી વત્તી પળાય એનો વાંધો નથી ને ?

દાદાશ્રી : વાંધો નહીં એવું નહીં. આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી જ છે ! સવારથી જ નક્કી કરવું કે 'પાંચ આજ્ઞામાં જ રહેવું છે, પાળવી છે.' નક્કી થયું ત્યારથી અમારી આજ્ઞામાં આવી ગયો, મારે એટલું જ જોઈએ છે. પળાતી નથી એનાં કોઝિઝ હું જાણું છું. આપણે પાળવી છે એવું નક્કી જ કરવાનું !

આપણા જ્ઞાનમાં તો મોક્ષ થવાનો જ છે. જો કદી આજ્ઞામાં રહેશે ને, તો એનો મોક્ષ થશે. એમાં બે મત જ નથી. પછી ના પાળતો હોય તો એણે કો'ક દહાડો જ્ઞાન લીધેલું છે ને, તે ઊગ્યા વગર રહેવાનું નથી. એટલે લોકો મને કહે છે, 'કેટલાક જ્ઞાન પામેલા છે તે આજ્ઞા નથી પાળતા તેનું શું ?' મેં કહ્યું, 'એ તારે જોવાની જરૂર નથી. એ મારે જોવાની જરૂર છે. જ્ઞાન મારી પાસેથી લઈ ગયા છે ને ! તને ખોટ ગઈ નથી ને !' કારણ કે પાપો ભસ્મીભૂત થયા વગર રહે નહીં. જગ્યા મહીં પોલી થઈ ગઈ. આ અમારા પાંચ વાક્યોમાં રહો તો પહોંચી વળાય. અમે નિરંતર પાંચ વાક્યોમાં જ રહીએ છીએ અને અમે જેમાં રહીએ છીએ તે તમને દશા આપી છે. આજ્ઞામાં રહેવાય તો કામ થાય. પોતાના ડહાપણે લાખ અવતાર માથા ફોડે તો કશું વળે નહીં. આ તો આજ્ઞા પણ પોતાના ડહાપણે કરીને પાળે, આજ્ઞા પાછી સમજે પોતાની સમજણે જ ને ! એટલે ત્યાં ય પછી થોડું થોડું લીકેજ થયા કરે બધું. છતાં ય એ આજ્ઞા પાળવા પાછળ એનો પોતાનો ભાવ તો એવો છે જ કે 'આજ્ઞા પાળવી છે.' માટે જાગૃતિ જોઈએ.

આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે 'હે દાદા, આ બે કલાક ભૂલી ગયો, આપની આજ્ઞા ભૂલી ગયો. પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.' તો પાછલું બધું ય પાસ. સોએ સો માર્ક પુરા. એટલે જોખમદારી ના રહી. આજ્ઞામાં આવી જાય તો આખું વર્લ્ડ અડે નહીં. અમારી આજ્ઞા પાળો એટલે તમે કશું અડે નહીં. આજ્ઞા આપનારને ચોંટે ? ના, કારણ કે એમને પરહેતુ માટે છે, એટલે એમને અડે નહીં ને ડીઝોલ્વ થઈ જાય.

આ તો છે ભગવાનની આજ્ઞા !!!

દાદાની આજ્ઞા પાળવી એટલે એ 'એ. એમ. પટેલ'ની આજ્ઞા નથી. ખુદ 'દાદા ભગવાન'ની, જે ચૌદલોકનો નાથ છે, એમની આજ્ઞા છે. એની ગેરેન્ટી આપુ છું. આ તો મારી મારફત બધી વાત નીકળી છે આ. એટલે તમારે એ આજ્ઞા પાળવાની. મારી આજ્ઞા નથી, એ દાદા ભગવાનની આજ્ઞા છે. હું ય એ ભગવાનની આજ્ઞામાં રહું છું ને !

- જય સચ્ચિદાનંદ