દાદા ભગવાન ?
સંપાદકીય

જૂન, ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરના રેલ્વેના બાંકડા પર અંબાલાલ મૂળજીભાઈ પટેલ બેઠેલા. સોનગઢ-વ્યારાથી વડોદરા જતાં વચ્ચે તાપ્તી રેલ્વેમાંથી ઊતરી વડોદરા જતી ગાડીની રાહ જોવા જતાં, કુદરતે અધ્યાત્મ માર્ગનું અદભૂત આશ્ચર્ય એ સમયે સર્જ્યું !

કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’, અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? આ બધાં કોણ ? કર્મ શું ? બંધન શું ? મુક્તિ શું ? મુક્તિનો ઉપાય શું ?..... એવાં અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ સંપૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ભાદરણના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પરમ ‘સત્’ને જ જાણવાની, સત્ને જ પામવાની ને સત્ સ્વરૂપ થવાની બચપણથી જ ઝંખના ધરાવનાર એ ભવ્ય પાત્ર માંહી ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું.

એમને પ્રાપ્ત થયું એ આશ્ચર્ય તો સર્જાયું. પણ એ આશ્ચર્યમાં ય આશ્ચર્ય એટલે એમણે જે જોયું, જાણ્યું ને અનુભવ્યું તે અન્યને પણ એ દ્રષ્ટિ ખોલાવી શકવાની તેઓની એ સમર્થતા ! પોતે પોતાનું કરી છૂટી જનારા ઘણા નીકળે, પણ પોતાની સાથે હજારોને છોડાવવાની સમર્થતા સહિત છૂટનારા તો કેવળ તીર્થંકરો અથવા તો જ્ઞાનીઓમાંય કો’ક જ જ્ઞાની હોય. એવા વિરલ જ્ઞાની કે જેમણે આ કળિકાળને અનુરૂપ ‘ઈન્સ્ટન્ટ’ આત્મજ્ઞાન પ્રાપ્તિનો અદ્ભૂત માર્ગ ખુલ્લો કર્યો, જે ‘અક્રમ’ તરીકે ઓળખાયો ! ‘અક્રમ’ એટલે અહંકારનો ફૂલસ્ટોપ માર્ગ ને ‘ક્રમ’ એટલે અહંકારનો કૉમા માર્ગ. ‘અક્રમ’ એટલે ક્રમ નહીં તે. ક્રમ એટલે પગથિયે પગથિયે ઉપર ચઢવાનું ને ‘અક્રમ’ એટલે લિફટમાં તુર્ત પહોંચી જવાનું ! ક્રમ એ ધોરી માર્ગ છે, કાયમનો માર્ગ છે. જ્યારે ‘અક્રમ’ એ અપવાદ માર્ગ છે, ‘ડાયવર્ઝન’ છે.

ક્રમમાર્ગ ક્યાં સુધી ચાલે ? જ્યાં સુધી મન-વચન-કાયાની એકતા હોય, એટલે કે જેવું મનમાં તેવું જ વાણીમાં ને તેવું જ વર્તનમાં હોય, જે આ કાળમાં નિરાપવાદે અશક્ય છે. તેથી ક્રમનો પુલ વચ્ચેથી તૂટ્યો ને કુદરતે મોક્ષમાર્ગ ચાલુ રાખવા આ છેલ્લી તકરૂપે આ ‘ડાયવર્ઝન’ - ‘અક્રમ માર્ગ’ જગતને આપ્યો. આ છેલ્લી તક જેણે ઝડપી તે ‘પેલે’ પાર પામી ગયા.

ક્રમમાર્ગમાં પાત્રની શુદ્ધિ કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભને શુદ્ધ કરતાં કરતાં અંતે અહંકારને પણ સંપૂર્ણ શુદ્ધ કરવાનો હોય છે, કે જેમાં એક પણ પરમાણુ ક્રોધનું, માનનું, માયાનું કે લોભનું ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય ને શુદ્ધાત્મ સ્વરૂપ સાથે અભેદ થાય.

આ કાળમાં આ માર્ગ અશક્ય થઈ પડવાને કારણે ‘અક્રમ વિજ્ઞાન’ની સમજણ થકી મન-વચન-કાયાની અશુદ્ધિને અકબંધ રાખી ‘ડિરેક્ટ’ અહંકાર શુદ્ધ થઈ જાય ને પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ જાય એવું છે. ત્યાર બાદ મન-વચન-કાયાની અશુદ્ધિઓ ક્રમે ક્રમે ઉદયમાં આવે, એટલે તેની સંપૂર્ણ શુદ્ધિ ‘જ્ઞાની’ની આજ્ઞામાં રહેતાં સહેજે થઈ જાય.

આ દુષમકાળમાં કઠણ કર્મોમાંય સંસારની સર્વ જવાબદારીઓ આદર્શ રીતે અદા કરતાં કરતાં પણ નિરંતર ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ રહે છે. અને ‘અક્રમ વિજ્ઞાન’ની અજાયબ દેણ તો જુઓ ! સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય, એવી આ અપૂર્વ વાત એકવાર તો માન્યામાં જ ના આવે, છતાં આ હકીકત બની છે.

આવાં અજાયબ ‘અક્રમ વિજ્ઞાન’ના પ્રગટીકરણ માટેના પાત્રની પસંદગી કયા લક્ષણોને કારણે કુદરતે કરી હશે એનો ઉત્તર તો પ્રસ્તુત સંકલનમાં એ પાત્રના પૂર્વાશ્રમના પ્રસંગો તેમ જ જ્ઞાન પછીની જાગૃતિની પરાકાષ્ઠાનો પ્રકાશ પાથરતા પ્રસંગો જ કહી જાય છે.

જીવનમાં કડવા-મીઠા પ્રસંગો કોને નહીં પીરસાયા હોય ? એમાંથી ‘જ્ઞાની’ પણ વંચિત શીદને હોઈ શકે ? જીવનની ચાંદનીનો ને અમાસનો આસ્વાદ જ્ઞાન-અજ્ઞાન દશામાં અનુભવતા જ્ઞાનીની તે પ્રત્યેની દ્રષ્ટિ કંઈ અનોખી, આગવી ને મૌલિક હોય છે. સામાન્ય પ્રસંગો કે જેમાંથી અજ્ઞાની જીવો હજારો વાર પસાર થતા હોય છે, છતાં નથી તેમાં કંઈ અંતરસૂઝ ખીલતી કે નથી કોઈ તે વેદવાની સમ્યક દ્રષ્ટિ દેખાતી. જ્યારે ‘જ્ઞાની’ તો અજ્ઞાન દશામાં, અરે ! જન્મથી જ સમ્યક દર્શનને પમાડનારી દ્રષ્ટિ લાવેલા હોય છે. પ્રત્યેક પ્રસંગમાંથી વીતરાગ દર્શનને તારવી લઈ પોતે સમ્યક માર્ગ શોધન કરી લે છે. આમ હજારો વાર અજ્ઞાનીઓને અનુભવમાં આવતા પ્રસંગો જેવા જ પ્રસંગોમાં ‘જ્ઞાની’ કંઈક નવું જ જ્ઞાન ખોળી કાઢે છે.

એમના બાળપણના પ્રસંગો જેવા કે માતાએ વૈષ્ણવ સંપ્રદાયની કંઠી પહેરવા કહ્યું, ત્યારે બોલી ઊઠ્યા - ‘પ્રકાશ ધરે તે મારા ગુરુ. કુગુરુ કરતાં નુગરો સારો.’ આવા પ્રસ્તુત પ્રસંગો પ્રકાશિત કરતાં, કોઈ વ્યક્તિને કે તે વર્તનને ન જોતાં તેમાં જ્ઞાનીની બાળદશાથી વર્તતી અદભૂત વિચારશ્રેણી, અદભૂત દ્રષ્ટિ તેમજ જ્ઞાનસ્થિતિ બાદ વર્તતી દશા પ્રત્યે લક્ષ રાખીને તેનો ‘સ્ટડી’ (અભ્યાસ) કરવા જેવો છે.

પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષની વાણીમાં બહુ જ સંક્ષિપ્તપણે પ્રસંગો અંકિત થયા છે. અંતર આશય એટલો જ છે કે પ્રગટ જ્ઞાની પુરુષની આવી અદભૂત દશાને જગત જાણે-જુએ ને તે પામે એ જ અભ્યર્થના.

-ડૉ. નીરુબહેન અમીનના

જય સચ્ચિદાનંદ.

દાદા ભગવાન ?

[1] આવું જ્ઞાન ક્યારે ને કેવી રીતે થયું ?

અક્રમની આ લબ્ધિ ‘અમને’ વરી

પ્રશ્નકર્તા : આપશ્રીને જે જ્ઞાન પ્રાપ્ત થયું, એ કઈ રીતે પ્રાપ્ત થયું ?

દાદાશ્રી : આ અમને પ્રાપ્ત થયું નથી, આ અમને લબ્ધિ છે.

પ્રશ્નકર્તા : નૈસર્ગિક રીતે ? આ નેચરલ પ્રાપ્ત થયું છે ?

દાદાશ્રી : હા, ધીસ ઈઝ બટ નેચરલ !

પ્રશ્નકર્તા : જે કંઈ આપની ઉપલબ્ધિ છે, એ પણ સુરતના સ્ટેશને આવી, તે કંઈ દરેકને નથી આવી, આપને આવી, કારણ કે આપે પણ ક્રમિક માર્ગે કંઈક ધીરે ધીરે કર્યું હશે ?

દાદાશ્રી : ઘણું, એ ક્રમિક માર્ગનું જ છે આ બધું કરેલું. પણ ઉદય આવ્યો અક્રમનો. કારણ કે નાપાસ થયા ને ! કેવળજ્ઞાનમાં નાપાસ થયા ને ! એટલે આ ઉદયમાં અક્રમ આવીને ઊભું રહ્યું.

‘ક્રમ-અક્રમ’નો ભેદ

પ્રશ્નકર્તા : ‘અક્રમ વિજ્ઞાન’ શું છે ? એ પહેલું જાણવું છે.

દાદાશ્રી : અહંકારનો ‘ફૂલ સ્ટોપ’, એનું નામ ‘અક્રમ વિજ્ઞાન’ અને અહંકારનો ‘કૉમા’, એનું નામ ‘ક્રમિક વિજ્ઞાન’. આ આંતર વિજ્ઞાન કહેવાય છે, જે પોતાને સનાતન સુખ તરફ લઈ જાય છે. એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મ વિજ્ઞાન કહેવાય અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ કરે, એ આ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે અને ‘આ’ સનાતન છે અને સનાતન કરનારું છે !

જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત

પ્રશ્નકર્તા : એ પ્રક્રિયા શું છે કે એક કલાકમાં માણસને ચિંતામુક્ત કરાવી શકે ? એમાં કોઈ ચમત્કાર છે ? કોઈ વિધિ છે ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ સર્વ પાપોને ભસ્મીભૂત કરી શકે છે, જ્ઞાનાગ્નિથી ! એ જ્ઞાનાગ્નિથી પાપો અમે ભસ્મીભૂત કરીએ અને પછી એ ચિંતારહિત થઈ જાય છે.

નથી કો’ ફેર પ્રકાશમાં ક્યાંય

પ્રશ્નકર્તા : આપ ભગવદ્ ગીતાની થિયરીમાં માનો છો ?

દાદાશ્રી : બધી જ થિયરીમાં માનું છું ! કેમ ના માનું ? એ ભગવત્ થિયરી એક જ છે ને ! આ તો આમાં ડિફરન્સ ના હોય. આ થિયરીમાં ને એમાં ડિફરન્સ ના હોય. પ્રકાશમાં ફેર નથી, રીતમાં ફેર છે આ ! જ્ઞાનનો પ્રકાશ તો એક જ પ્રકારનો છે. આ બીજા માર્ગે અને આ માર્ગનો, સનાતન માર્ગનો જ્ઞાનનો જે પ્રકાશ, તો એક જ પ્રકારનો. પણ એની રીત જુદી છે આ ! આ અલૌકિક રીત છે, એક કલાકમાં માણસ સ્વતંત્ર થઈ જાય છે. ‘વિધિન વન અવર’ ચિંતારહિત થઈ જાય !

સાધના સનાતન તત્વનીજ

પ્રશ્નકર્તા : આપે પહેલાં ઉપાસના કે સાધના કરેલી ?

દાદાશ્રી : સાધનાઓ તો બધી જાતજાતની કરેલી. પણ હું સાધના એવી નહોતો કરતો કે એ સાધનાથી કંઈ વસ્તુ પ્રાપ્ત થાય. કારણ કે મારે કોઈ વસ્તુ જોઈતી નહોતી. એટલે એવી સાધના કરવાની જરૂર જ નહીં ને ! અમે તો સાધ્ય વસ્તુની સાધના કરતા હતા. જે વિનાશી વસ્તુ નથી, અવિનાશી વસ્તુ છે, એની સાધના કરતા હતા ! બીજી સાધનાઓ હું કરતો નહોતો.

જ્ઞાન પહેલાં કંઈ મંથન ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પહેલાં મંથન કર્યું હશે ને ?

દાદાશ્રી : આખા વર્લ્ડની કોઈ ચીજ બાકી નથી રાખી વિચારવાની. વર્લ્ડમાં કોઈ ચીજ એવી નથી કે વિચાર્યા વગર બાકી રાખેલું હોય ! તેથી આ ‘જ્ઞાન’ આવેલું. અહીં તમે બે શબ્દ બોલો ત્યાં સુધીમાં મારે મહીં પદ આખું ચાલી જાય. એક મિનિટનાં પાંચ-પાંચ હજાર રિવોલ્યુશન ફરે. ગમે તેવા શાસ્ત્રોનો સાર બે મિનિટમાં કાઢી લઉં ! પુસ્તકમાં સર્વાંશ ના હોય. સર્વાંશ જ્ઞાની પુરુષ પાસે હોય. શાસ્ત્રો તો ડિરેક્શન બતાવે !

આ ભવમાં ન મળ્યા કો’ ગુરુ

પ્રશ્નકર્તા : આપના ગુરુ કોણ ?

દાદાશ્રી : ગુરુ તો આ ભવમાં પ્રત્યક્ષ મળ્યા હોયને તો એ ગુરુ કહેવાય. પ્રત્યક્ષ કોઈ મળ્યું નથી. એવા સાધુ-સંતો મળેલા, પણ ગુરુ કરવા જેવા કોઈ મળેલા નહીં. એમની જોડે સત્સંગ કરેલો, એમની સેવા કરેલી, પણ ગુરુ કરવા જેવા નહીં કોઈ. દરેક ભક્તોનું, જે બધા જ્ઞાનીઓ થઈ ગયેલા, એ બધાનું વાંચેલું પણ રૂબરૂ કોઈ નહીં મળેલા.

એટલે એવું છે ને, શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ મનાય નહીં. કારણ કે રૂબરૂ હોય તો ગુરુ મનાય ! એટલે એમનાં પુસ્તકોનો આધાર બહુ સારો હતો. બીજા પુસ્તકોનો આધાર હતો પણ રાજચંદ્રના પુસ્તકોનો વધારે આધાર હતો !

હું તો શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકો વાંચતો હતો, મહાવીર ભગવાનનાં શાસ્ત્રો વાંચતો હતો, કૃષ્ણ ભગવાનની ગીતા વાંચતો હતો, વેદાંતના ભાગ વાંચતો હતો, સ્વામીનારાયણનું વાંચતો હતો. મુસ્લિમના હઉ વાંચતો હતો. અને આ બધા શું કહેવા માગે છે, બધાનો કહેવાનો આશય શું છે ને હેતુ શો છે એ જાણી લીધેલું. બધાનું સાચું છે, પણ સહુ સહુની કક્ષાએ. પોતપોતાની ડિગ્રીમાં સાચું છે. ત્રણસો સાઠ ડિગ્રી હોય તો કોઈ પચાસ ડિગ્રી સુધી આવેલા છે, કોઈ એંસી ડિગ્રી સુધી આવેલા છે, કોઈ સો ડિગ્રી સુધી આવેલા છે, કોઈ દોઢસો ડિગ્રી સુધી આવેલા છે. સાચું બધાનું છે, પણ ત્રણસો સાઠ ડિગ્રી કોઈની પાસે નથી. ભગવાન મહાવીરની ત્રણસો સાઠ ડિગ્રી હતી !

પ્રશ્નકર્તા : આ અભ્યાસ ક્યાંથી થયો આપને ?

દાદાશ્રી : આ અભ્યાસ ? તે કેટલાય અવતારનો અભ્યાસ હશે ?

પ્રશ્નકર્તા : પણ શરૂઆતમાં, જન્મ થયા પછી કેવી રીતનો હતો ? જન્મ થયા પછી ક્યાંથી શરૂઆત થઈ ?

દાદાશ્રી : જન્મ થયા પછી આ વૈષ્ણવ ધર્મમાં ફર્યા, સ્વામીનારાયણના ધર્મમાં ફર્યા, બીજા ધર્મોમાં ફર્યા, શિવ ધર્મમાં ફર્યા, પછી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ફર્યા, પછી મહાવીર સ્વામીનાં બધાં પુસ્તક વાંચ્યાં, આ બધું વાંચ વાંચ કર્યું. આવી અમારી દશા હતી પણ ધંધા-રોજગાર ચાલુ હતા.

સિન્સિયારિટી તો વીતરાગોને જ નિરંતર

પ્રશ્નકર્તા : આપે બીજું એવું કંઈ કરેલું ?

દાદાશ્રી : કશું નહીં પણ નિરંતર વીતરાગો તરફ સિન્સિયારિટી ! કૃષ્ણ ભગવાન તરફ સિન્સિયારિટી ! આ સંસારની રુચિ નહોતી, સંસારનો લોભ નામેય નહોતો. જ્યારે જન્મ થયો ત્યારથી લોભની મારામાં પ્રકૃતિ જ નહોતી ! લોકો બધા ફરવા જાય, અરે ! કોઈ સાહેબ જેવાનો બગીચો હોય, તે જામફળ હોય, દાડમ હોય, મોસંબીઓ હોય, એવા મોટા મોટા બગીચાઓ હોય, તો આ બધા છોકરાઓ ફરવા જાય તો બધા છોકરા આટલું આટલું બાંધી લાવે. પણ હું કશું એવું બાંધતો-કરતો નહીં. એટલે લોભની પ્રકૃતિ જ નહીં. માન એટલું બધું કે મારા જેવો કોઈ દુનિયામાં નથી. માન, બહુ જબરજસ્ત માન ! અને એ તો મને એટલું બધું કૈડ્યું કે હું જ જાણું છું એ !

પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કેવું હતું ?

દાદાશ્રી : મને સમકિત થશે એવું લાગતું હતું. બાકી બધાં પુસ્તકોનાં સ્ટડીમાંથી ખોળી કાઢ્યું કે સરવૈયે ‘વસ્તુ શું છે ?’ એવું સમજાયેલું બધું. અને તીર્થંકરો, વીતરાગો સાચા પુરુષ છે અને વીતરાગોનો મત સાચો છે, એ વસી ગયેલું ! અનંત કાળનું આરાધન એ ! એટલે બધું એ જ હતું. વ્યવહાર બધો જૈન-વૈષ્ણવનો ભેગો હતો. અમુક બાબતમાં વૈષ્ણવ વ્યવહાર અને અમુક બાબતમાં જૈન વ્યવહાર હતો ! અમે ગરમ પાણી કાયમને માટે પીતા હતા, બીઝનેસ ઉપરેય ગરમ પાણી પીતો હતો. તમેય એવો જૈન વ્યવહાર ના કર્યો હોય ! પણ તે આ જ્ઞાન પ્રગટ થયાનું કારણ નથી. એનું કારણ તો બધા બહુ એવિડન્સ ભેગા થયેલા છે. આ તો આવું બને નહીં ને અક્રમ વિજ્ઞાન ઊભું થાય નહીં ને ? અક્રમ વિજ્ઞાન ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે. આ ચોવીસ તીર્થંકરોના વખતમાં જે સીઝયા નહીં, બુઝયા નહીં, તે બધાને બુઝવાનું આ વિજ્ઞાન છે.

દિલના સાચાને ‘સાચું’ મળ્યું

પ્રશ્નકર્તા : પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ? એમ સહજ એની મેળે કે પછી કંઈ ચિંતન કર્યું ?

દાદાશ્રી : એની મેળે, ‘બટ નેચરલ’ થયું ! અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી ? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે, કંઈક સમકિત જેવું થશે, લાગેલું. કંઈક સમકિતનો આભાસ થશે, એનું અજવાળું થશે. તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું !

મોક્ષે જતાં સંસાર નડતો નથી

પ્રશ્નકર્તા : આપે સંન્યાસ કેમ ના લીધો ?

દાદાશ્રી : સંન્યાસ તો, એવો ઉદય જ નહોતો. એમ નહોતું કે સંન્યાસ ઉપર મને ચીડ છે એવું નહીં પણ એવો ઉદય કોઈ જાતનો મને દેખાયેલો નહીં અને હું એમાં માનવાવાળો હતો કે સંસાર મોક્ષે જતાં નડતો ન હોવો જોઈએ. એ માન્યતા મારી દ્રઢ હતી. સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે ! હા, ભગવાનને આ ત્યાગ માર્ગનો ઉપદેશ કરવો પડે છે, એ સામાન્ય ભાવે કરવો પડ્યો છે. એ કંઈ વિશેષ ભાવે નથી કર્યો. વિશેષ ભાવ તો એવો છે કે સંસાર નડે એવો નથી, એવું અમે ગેરેન્ટીપૂર્વક કહીએ છીએ.

કઈ જગત પુણ્યાઈએ જ્ઞાન પ્રાગટ્ય આ

પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન કેટલા અવતારનું સરવૈયું છે ?

દાદાશ્રી : અક્રમ જ્ઞાન જે પ્રગટ થયું છે તે ઘણા અવતારનું સરવૈયું બધું ભેગું થઈ એની મેળે, કુદરતી જ આ પ્રગટ થઈ ગયું છે.

પ્રશ્નકર્તા : આ તમને ‘બટ નેચરલ’ થયું, પણ એ કેવી રીતે ?

દાદાશ્રી : આ કેવી રીતે એટલે કે એના સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થવાથી થયું. આ લોકોને સમજાવવા માટે મારે ‘બટ નેચરલ’ કહેવું પડ્યું. બાકી આમ સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા મળી આવ્યા, તે પ્રગટ થઈ ગયું.

પ્રશ્નકર્તા : કયા એવિડન્સો મળ્યા ?

દાદાશ્રી : બધા બહુ જાતનાં એવિડન્સો મળ્યા ને ! આખા જગતનું કલ્યાણ થવાનું હશે, તેય કાળ પાક્યો હશેને ! બને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને ?

જ્ઞાન થયાં પહેલાંની એ દશા

જ્ઞાનાંક્ષેપકવંત કહેવાય એને. આત્મસંબંધી વિચારણાની ધારા જ ના તૂટે. એ ધારા મારે હતી, તે દશા હતી. હા, દિવસોના દિવસો સુધી એની એ જ ચીજ ચાલુ. ધારા તૂટે જ નહીં. મેં શાસ્ત્રમાં જોયેલું કે ભઈ આ દશા કઈ ! ત્યારે સમજાયેલું કે આ તો જ્ઞાનાંક્ષેપકવંત દશા વર્તે છે !

આપને કોની આરાધના ?

પ્રશ્નકર્તા : લોકો દાદાનાં દર્શન કરવા આવે છે પણ દાદા કોની સેવા પૂજા કરે છે ? એમના આરાધ્ય દેવ કોણ છે ?

દાદાશ્રી : મહીં ભગવાન પ્રગટ થયા છે, એમની પૂજા કરું છું !

‘હું’ ને ‘દાદા ભગવાન’ નહીં એક રે

પ્રશ્નકર્તા : તો આપ ભગવાન કેવી રીતે કહેવડાવો છો ?

દાદાશ્રી : હું પોતે ભગવાન નથી. ભગવાનને, દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર છું અને દાદા ભગવાન ત્રણસોને સાઠ ડિગ્રીએ છે. તે મારે ચાર ડિગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : એ શા માટે ?

દાદાશ્રી : કારણ કે, મારે તો ચાર ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશેને ? ચાર ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો, પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે ?

પ્રશ્નકર્તા : આપને ભગવાન થવાનો મોહ ખરો ?

દાદાશ્રી : મને તો ભગવાન થવું, એ તો બહુ બોજારૂપ લાગે. હું તો લઘુતમ પુરુષ છું. આ વર્લ્ડમાંય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે !

પ્રશ્નકર્તા : ભગવાન થવું ના હોય તો પછી આ ચાર ડિગ્રી પૂરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો ?

દાદાશ્રી : એ તો મારે મોક્ષે જવા માટે. મારે ભગવાન થઈને શું કાઢવાનું ? ભગવાન તો ભગવત્ ગુણો ધરાવતા હોય, એ બધાય ભગવાન થાય. ભગવાન એ વિશેષણ છે. ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને, લોક એને ભગવાન કહે જ.

અહીં પ્રગટ્યા, ચૌદ લોકના નાથ !!!

પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન’ શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ?

દાદાશ્રી : દાદા ભગવાનને માટે ! મારે માટે નથી. હું તો જ્ઞાની પુરુષ છું.

પ્રશ્નકર્તા : કયા ભગવાન ?

દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાંય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલા. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં વ્યક્ત થયેલા છે. તે વ્યક્ત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તોય કામ નીકળી જાય એવું છે. પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય. અને સાંસારિક ચીજોની જો અડચણ હોયને તોય અડચણ દૂર થઈ જાય. પણ એમાં લોભ નહીં કરવાનો. અને લોભ કરવા જાય તો પાર જ ના આવે. આપને સમજ પડી, દાદા ભગવાન શું છે એ ?

‘દાદા ભગવાન’નું સ્વરૂપ શું ?

પ્રશ્નકર્તા : દાદા ભગવાનનું સ્વરૂપ શું છે ?

દાદાશ્રી : દાદા ભગવાનનું સ્વરૂપ કયું ? ભગવાન, બીજું શું ? જેને આ વર્લ્ડમાં કોઈ પણ જાતની મમતા નથી, જેને અહંકાર નથી, જેનામાં બુદ્ધિ નથી, એ દાદા સ્વરૂપ !!

આત્મજ્ઞાનથી ઉપર ને કેવળજ્ઞાનથી નીચે

જ્ઞાની પુરુષને કેવળ જ્ઞાન ચાર ડિગ્રીએ અટક્યું છે અને આત્મજ્ઞાનની ઉપર ગયું, આત્મજ્ઞાનની ઉપર ગયું અને કેવળજ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નહીં. ત્યારે એમાં વચલા ગાળામાં આ જે જ્ઞેયો છે ને, તે જગતને ખબર ન હોય. આમાં આ અમે જે બોલીએને, તે એક વાક્ય ખબર ન હોય, ભાનેય ના હોય. એમ બોલ્યા પછી બુદ્ધિથી પાછું સમજાય એને, ના સમજાય એવું નથી. બુદ્ધિ એ પ્રકાશ છે, તે પ્રકાશથી સામાનું બોલેલું સમજાય કે વાત કરેક્ટ છે. પણ ફરી પાછું એને યાદ ન આવે, ફક્ત જ્ઞાની પુરુષનું વાક્ય છે એટલે એનામાં વચનબળ હોવાથી અમુક ટાઈમ હાજર થાય. જ્યારે ખરો ટાઈમ આવેને, ત્યારે એ વાક્ય હાજર થાય, એ વચનબળ કહેવાય.

જગત જોયું પણ જાણ્યું નહીં પૂર્ણ

અમે કેવળજ્ઞાનમાં નાપાસ થયેલા માણસ છીએ.

પ્રશ્નકર્તા : ચાર અંશ એ કયા ચાર અંશ ?

દાદાશ્રી : આ જે દેખાય છે, આ ચારિત્રમોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્ચ્છા ના હોય, છતાં સામાને દેખાય છે માટે એટલા અંશ બાદ થઈ જાય છે. અને બીજું મને જગત સમજાય છે ખરું, પણ જાણ્યામાં નથી આવ્યું હજુ. કેવળજ્ઞાન એટલે જાણ્યામાં આવવું જોઈએ. આ તો સમજવામાં આવી ગયું છે.

પ્રશ્નકર્તા : એનો ભેદ કેવી રીતે કરવો, જાણવામાં ના આવ્યું હોય તે ?

દાદાશ્રી : સમજવામાં આવ્યું છે, જાણ્યામાં નથી આવ્યું. જાણ્યામાં આવ્યું હોત તો કેવળજ્ઞાન કહેવાત. સમજવામાં આવ્યું એટલે કેવળદર્શન કહેવાય છે.

પ્રશ્નકર્તા : આ જાણ્યું નથી, પણ સમજમાં આવ્યું છે, એ જરા સમજાયું નહીં.

દાદાશ્રી : સમજમાં એટલે આ જગત શું છે, કેવી રીતે ઉત્પન્ન થયું, મન શું છે, મનના ફાધર-મધર કોણ છે, આ બુદ્ધિ શું છે, આ ચિત્ત શું છે, અહંકાર શું છે, માણસનો જન્મ શાથી થાય છે, ફલાણાનો જન્મ કેમ થાય છે, આ બધું કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, ભગવાન ચલાવે છે કે બીજું કોઈ ચલાવે છે, હું કોણ છું, તમે કોણ છો, એ બધી જ વાત અમારી સમજમાં આવી ગયેલી હોય. અને દિવ્યચક્ષુથી આત્મા બધે જ દેખાતો હોય, દરેક જીવમાત્રમાં દેખાતો હોય. એટલે બધું સમજમાં આવી ગયેલું હોય, એટલે એને કેવળદર્શન કહીએ છીએ.

બોલે છે તે છે ટેપરેકર્ડ

દાદાશ્રી : આ કોણ બોલે છે ? આપની સાથે કોણ વાત કરે છે ?

પ્રશ્નકર્તા : એ જ્ઞાન તો મને નથી ખબર !

દાદાશ્રી : એટલે આ ‘હું’ તમારી જોડે વાત નથી કરતો. ‘હું’ તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. ‘હું’ મારા ક્ષેત્રમાં જ રહું છું. આ તમારી જોડે વાત કરે છે એ તો રેકર્ડ વાત કરે છે, કમ્પ્લીટ રેકર્ડ છે. એટલે બીજી રેકર્ડ ઊતરી શકે છે. આય મિકેનિકલ રેકર્ડ છે બિલકુલ.

એટલે આ દેખાય છે ને એ ભાદરણના પટેલ છે. અને આ જે બોલે છે ને એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે ! અને મહીં દાદા ભગવાન પ્રગટ થયેલા છે, તેની સાથે રહું છું એકતાથી ! અને કોઈ વખત બહાર નીકળીને અંબાલાલ સાથેય એકતાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. અંબાલાલ સાથેય આવવું પડે. અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય આ અને નહીં તો મહીં પોતે અભેદ રહે !

ગુરુપૂનમે પૂર્ણદશાએ ખીલે, આતમચંદ્ર

આપણે ત્યાં ત્રણ દિવસ ઉત્તમ, એક બેસતું વર્ષ, એક આ જન્મ જયંતિ અને આ ગુરુ પૂર્ણિમા. તે દહાડે બીજા જોડે ભાંજગડ ના હોયને, એટલે અમે પેલા પૂર્ણ સ્વરૂપે એકાકાર હોઈએ ! હું (જ્ઞાની પુરુષ) પેલા સ્વરૂપની અંદર (દાદા ભગવાન જોડે) એકાકાર હોઉં, એટલે ફળ તેનું મળે ! તેથી દર્શન કરવાનું માહાત્મ્યને !

અગિયારમું આશ્ચર્ય એ અક્રમ વિજ્ઞાન

ભગવાન મહાવીર સુધી દશ આશ્ચર્ય થયાં ને આ અગિયારમું આશ્ચર્ય છે. જ્ઞાની પુરુષ વેપારી રૂપે વીતરાગ છે, વેપારી ભાવે વીતરાગ છે. એવાં દર્શન થાય એ અજાયબી કહેવાયને ! જુઓને, આ અમારે કોટ ને ટોપી ! આ તે કંઈ હોતું હશે જ્ઞાનીમાં ? એમને પરિગ્રહ શું કરવા છે ? જેને કંઈ જોઈતું નથી, છતાંય એ પરિગ્રહમાં ફસાયા છે. એમને કશું જોઈતું નથી, છતાંય છે છેલ્લી દશામાં ! પણ લોકોના ભાગ્યમાં નહીં હોય, તેથી આ સંસારી વેશે છે. એટલે ત્યાગી વેશ હોય તો તો લાખો- કરોડો માણસોનું કામ થઈ જાય. પણ આ લોકોનાં પુણ્ય એવાં કાચાં છે !

મને જે સુખ લાધ્યું તે સર્વને લાધો

પ્રશ્નકર્તા : અને આપને ધર્મપ્રચારની પ્રેરણા કોણે આપી ?

દાદાશ્રી : ધર્મ પ્રચારની પ્રેરણા બધી કુદરતી છે આ ! મને પોતાને જે સુખ ઉત્પન્ન થયું, એટલે ભાવના ઉત્પન્ન થઈ કે આ લોકોને સુખ ઉત્પન્ન થાવ આવું. એ જ પ્રેરણા !

મને લોકો કહે છે, ‘તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો ? આ ઉંમર તો થઈ હવે ! સવારમાં ઊઠો છો ત્યાર પછી ચા પીતાં પીતાં દસ તો વાગી જાય છે.’ અરે ભઈ, અમારે આ સ્થૂળને નથી કરવાનું - સૂક્ષ્મ થઈ રહ્યું છે બધું. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે !

હૃદયો ભીંજવે, જ્ઞાની તણી કરુણા

પ્રશ્નકર્તા : આપ વીતરાગીને લોકસંપર્કનો શું સંબંધ ?

દાદાશ્રી : વીતરાગી ભાવ. બીજો કોઈ સંબંધ નથી. પણ તે તો આ અત્યારે વીતરાગ છે જ નહીં ને ! તમે જેને પૂછો છો એ વીતરાગ નથી અત્યારે ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગી છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ. અને કલ્યાણ માટે ખટપટ કરે. બાકી વીતરાગીને ને જનસંપર્કને કશું લેવા-દેવા જ નથી ! વીતરાગી તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે, જરાય ખટપટ ના કરે !

પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાનાં કર્મ ખપાવવા ?

દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય. વીતરાગીને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની. પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએ ને નિરાંતે ! સ્કૂલ ચાલુ કરી દઈએ છીએ ને ! તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છે ને ! એટલે એ ભાવના છે અમારી. કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલાં બધાં દુઃખ !! દુઃખ છે નહીં ને નકામાં દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય. હવે અણસમજણ નીકળે ક્યારે ? કહેવાથી ના નીકળે. દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે !! તે અમે તો કરી બતાવીએ. એ મૂર્ત સ્વરૂપ કહેવાય. તે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય.

પ્રશ્નકર્તા : આપ્તપુરુષનાં વાણી, વર્તન ને વિચારો કેવા. હોય ?

દાદાશ્રી : એ બધું મનોહર હોય, મનનું હરણ કરે એવાં હોય, મન ખુશ થઈ જાય. એમનો વિનય જુદા પ્રકારનો હોય. એ વાણી જુદા પ્રકારની હોય. વિધાઉટ ઈગોઈઝમ વર્તન હોય. ઈગોઈઝમ સિવાયનું વર્તન જગતને જોવાનું કોઈક ફેરો મળી આવે. નહીં તો મળે નહીં ને !

જ્ઞાની તે કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : જ્ઞાનીની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : જ્યાં કાયમ પ્રકાશ હોય. બધું જ જાણતા હોય, કશું બાકી જ ના હોય જાણવાનું. જ્ઞાની એટલે અજવાળું. અજવાળું એટલે કોઈ જાતનું અંધારું જ ન હોય !

અને જ્ઞાની કોઈક ફેરો વર્લ્ડમાં એકાદ હોય અને બે ના હોય. એની જોડી ના હોય. એની જોડી થાય તો સ્પર્ધા થાય. બાકી, જ્ઞાની થવું એ નેચરલ એડજસ્ટમેન્ટ છે. જ્ઞાની, એ પોતે જાતે કોઈ થઈ શકે નહીં !

જ્ઞાની પુરુષ તો છૂટેલા હોય. મુક્ત હોય, અજોડ હોય. કોઈ એની સ્પર્ધા કરી શકે નહીં. કારણ સ્પર્ધામાં હોય એ જ્ઞાની નહીં.

દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધ

વીતરાગોએ કહ્યું છે ને, કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધપણાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવે તો ઉકેલ આવે. કોઈ દ્રવ્ય એમને બાંધી શકે નહીં, કોઈ કાળ એમને બાંધી શકે નહીં, કોઈ ભાવ એમને બાંધી શકે નહીં અને કોઈ ક્ષેત્ર એમને બાંધી શકે નહીં. આ ચાર જ વસ્તુ છે જગતમાં, એને લઈને જગત ઊભું રહ્યું અને તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ સેવવાને માટે ભગવાને કહ્યું છે.

ન રાગ-દ્વેષ, ન ત્યાગાત્યાગ

જ્ઞાની પુરુષ કોનું નામ કે જેને ત્યાગ અગર અત્યાગ સંભવે નહીં, સહજ ભાવે હોય. એ રાગ કે દ્વેષ ના કરે. ફક્ત એમનામાં વિશેષ વિલક્ષણતા શું હોય કે રાગ-દ્વેષ ન હોય, એટલી જ વિલક્ષણતા હોય.

દ્રષ્ટિ નિર્દોષ બની, ભાળ્યું જગત નિર્દોષ

આખા જગતમાં દોષિત મને કોઈ દેખાય નહીં. મારું ગજવું કાપો તોય મને દોષિત દેખાય નહીં. એના ઉપર કરુણા છૂટે. દયા ના હોય અમારામાં બિલકુલેય ! દયા મનુષ્યોમાં હોય અને ‘જ્ઞાનીપુરુષ’નામાં દયા ના હોય, દ્વંદ્વથી પર થઈ ગયેલા હોય ! અમારી દ્રષ્ટિ જ નિર્દોષ થઈ ગઈ હોય, એટલે તત્વદ્રષ્ટિ હોય. આ અવસ્થાદ્રષ્ટિ ના હોય. બધાનામાં સીધો આત્મા જ દેખાય.

[2] બાળપણના પ્રસંગો

માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ

અમારાં મધર મારાથી છત્રીસ વર્ષ મોટાં. મેં મધરને પૂછયું કે, ‘ઘરમાં માકણ થયા છે તે તમને કૈડતા નથી ?’ ત્યારે મધર કહે છે, ‘‘ભઈ, કૈડે તો ખરાં. પણ એ ઓછું કંઈ ફજેટિયું લઈને આવે છે બીજાં બધાંની જેમ કે ‘આપો, અમને માબાપ ?’ એ બિચારો કશું વાસણ લઈને આવતો નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !’’ મેં કહ્યું, ધન્ય છે માજી ને ! અને આ દિકરાનેય ધન્ય છે !!

અમે તો માકણનેય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટલ એવી છે કે આ હોટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં, એ અમારો ધંધો. એટલે માકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવિહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી, એ બધું કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું ! ને ત્યારે જો પ્રગટ થયું, આખું ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું, જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું વિજ્ઞાન પ્રગટ થયું છે !

માતાના સંસ્કારે માર ખાતાં શીખવ્યું

મારા માજી હતાંય એવાંને ! માજી તો મને શીખવાડતાં’તાં. નાનપણમાં હું એક છોકરાંને મારીને ઘેર આવેલો. તે પેલા છોકરાને લોહી નીકળેલું અહીંયાં. માજીને ખબર પડી. પછી એમણે મને કહ્યું કે, ‘ભઈ, આ એને લોહી નીકળ્યું, એવું તને મારે ને લોહી નીકળે તો મારે તને દવા કરવી પડે ને ? અત્યારે પેલાની માને દવા કરવી પડતી હશે ને ? અને કેટલું રડતો હશે બિચારો ! એને કેટલું દુઃખ થતું હશે ! માટે તું માર ખઈને આવજે, કોઈ દહાડો કોઈને મારીને ના આવીશ. તું માર ખઈને આવજે. હું તારી દવા કરીશ.’ બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ? એટલે સંસ્કાર પણ માજીએ ઊંચા આપેલા.

તેમાં ખોટ કોને ?

હું તો નાનપણમાં રિસાતો હતો, થોડું ઘણું. કો’ક દહાડો રિસાયો હોઈશ. બહુ રિસાયેલો નહીં. તોય મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદ્દન ખોટ છે, એટલે પછી એવું નક્કી જ કરેલું કે કોઈ આપણને ગમે તે કરે તોય રિસાવું નહીં. હું રિસાયેલો ખરો, પણ તે દિવસે સવારનું દૂધ ગયું ! તે પછી મેં તે દિવસે શું શું ગયું, એનો હિસાબ કાઢ્યો. સાંજે હતા તેના તે પાછા.

બાને હું શું કહેતો હતો ? ‘મને ને ભાભીને બધાંને સરખાં ગણો છો તમે બા ? ભાભીને અચ્છેર દૂધ, તે મનેય અચ્છેર દૂધ આપો છો ? એને ઓછું આપો.’ મારે અચ્છેર રહેવા દેવું હતું. મારે વધારવું નહોતું પણ ભાભીને ઓછું કરો, દોઢ પાશેર કરો. ત્યારે બા મને શું કહે છે ? ‘તારી બા તો અહીં છે. એની બા અહીં નથી ને ! એને ખોટું લાગે બિચારીને ! એને દુઃખ થાય. એટલે સરખું આપવું પડે.’ તો ય પણ મારે મેળ પડે નહીં. પણ બા મને સમજાવ સમજાવ કરે, થીગડાં માર માર કરે. એટલે એક ફેરો આડો થયો, તે પછી ખોટ ગઈ. એટલે મેં કહ્યું કે હવે ફરી આડું થવું નથી.

નાની ઉંમરે પણ સચોટ સમજણ

બાર વર્ષનો હતો ત્યારે કંઠી તૂટી ગઈ. ત્યારે બા કહે છે કે, ‘આપણે આ ફરી કંઠી બંધાવીએ. તે મેં કહ્યું કે, ‘આપણા બાપ-દાદાઓ આ કૂવામાં પડ્યા હશે, તે દહાડે આ કૂવામાં પાણી હશે. પણ મને તો આ કૂવામાં જોતાં મોટા મોટા પથ્થર પડેલા દેખાય છે, પાણી દેખાતું નથી ને સાપ મોટા મોટા દેખાય છે. હું આ કૂવામાં પડવા માંગતો નથી.’ બાપ-દાદા પડે એ કૂવામાં આપણે પડવું એવું કંઈ લખી આપ્યું છે ? પાણી જુઓ મહીં, છે કે નહીં, તો પડો. નહીં તો પાણી ના હોય તો આપણે પડીને માથાં ફોડવાનું શું કામ છે તે ?

જે લોકો મને પ્રત્યક્ષ જ્ઞાન ન આપે, તે ઘડીએ ગુરુ એટલે હું પ્રકાશ ધરનાર એવો અર્થ હું સમજતો હતો, તે પ્રત્યક્ષ મને જો પ્રકાશ ન ધરે તો મારે એવું કંઈ ટાઢાં પાણી છંટાવીને કે ઉપર ઘડા રેડાવીને, કે મારે એવી કંઠીઓ બંધાવવી નથી. પણ મને એમ લાગશે કે આ ગુરુ કરવા જેવો છે, તો હું ટાઢો તો શું, હાથ કાપી લેશે તોય હું હાથ કપાવા દઈશ. હાથ કાપેલા, તે અનંત અવતારમાં હાથ હતા જ ને, ક્યાં નહોતા તે ? અને કોઈક ધારિયાથી હાથ કાપી નાખે ત્યારે કપાવા દો છો જ ને ? તે અહીં આગળ ગુરુ કાપે તો ના કાપવા દેવું ? કોઈક બહારવટિયો કાપી લે, તો લોક ત્યાં કાપવા દે ને ? અને ગુરુ કાપે તો ? પણ ગુરુ કાપે જ નહીં બિચારા ! પણ વખતે એ કાપવાનું કહે તો આપણે એમ ન કરવાનું કંઈ કારણ છે ?

તેથી મધરે કહ્યુંને, કે તને ‘નુગરો’ કહેશે. ત્યારે ‘નુગરો’ શબ્દ એટલે. આજે અમુક ઉંમર પછી સમજી ગયેલો કે નુગરો એટલે શું કહેવા માગે છે. પણ તે દહાડે તો હું સમજું કે આ શબ્દ, એ લોકોનું કંઈ એડજસ્ટમેન્ટ હશે, તે એને ‘નુગરો’ કહીને ફજેત કરતા હશે. પણ ‘ન ગુરુ’ એમ તે દહાડે ખબર નહીં કે ‘ગુરુ વગરનો’ એવી ખબર નહીં. એટલે મેં કહ્યું, કે આ મને ‘નુગરો’ કહેશે, મને ફજેત કરશે, બહુ ત્યારે શું કહેશે તે ?

ના, એવો મોક્ષ ન ખપે

અને તેર વર્ષ પછી, સ્કૂલમાંથી ટાઈમ મળેને એટલે પછી ત્યાં આગળ, સંત પુરુષના આશ્રમ જેવું હતું, ત્યાં દર્શન કરવા જતો. તે ઉત્તરના સંત હતા, એક-બે. બહુ ચોખ્ખા સંત પુરુષ એટલે એમના પગ દબાવતો હું, તેર વર્ષની ઉંમરે. ત્યારે એ મને કહે છે કે, ‘બચ્ચા, ભગવાન તુમકુ મોક્ષે લે જાયેગા ? મેં કહ્યું કે, ‘સાહેબ, આ વાત ન કરો તો મને સારું લાગશે. આ વાત મને અનુકુળ નથી !’ એટલે એમના મનમાં એમ કે આ બચ્ચું છે ને, સમજે નહીં ને ! તે મને કહે છે કે ‘ધીમે ધીમે તને સમજાશે ?’ એવું ગુજરાતીમાં પછી કહ્યું. ત્યારે મેં કહ્યું કે, ‘સારું, સાહેબ’ પણ મને તો મોટા મોટા વિચાર આવ્યા કે આ ભગવાન મોક્ષે લઈ જાય, પછી ત્યાં આગળ મને બેસાડ્યો, પછી એના ઓળખાણવાળા આવે તો ‘ઊઠ અહીંથી’ કહેશે. તો બળ્યો તારો મોક્ષ ! એના કરતાં બાયડી જોડે ડુંગળીનાં ભજિયાં ખાઈએ-કરીએ એ શું ખોટું છે ? આ મોક્ષ સારો એના કરતાં તો ! પેલો ત્યાં આગળ ‘ઊઠ’ કહેનારો હોય અને ઉપરી હોય, તો એ મોક્ષ આપણે નથી જોઈતો.

એટલે તેર વર્ષની ઉંમરે આ સ્વતંત્રતા જાગેલી. ઉપર કોઈ બાપો હોય તો એવો મોક્ષ આપણે જોઈતો નથી. અને જો ના હોય તો આપણે એ જ જોઈએ છે કે ઉપરી કોઈ નહીં અને અંડરહેન્ડ મારે જોઈતો નથી. અંડરહેન્ડ મને પસંદ જ નથી.

જ્યાં ઊઠાડે એવો મોક્ષ મારે ના જોઈએ. જ્યાં ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં, એવો આ વીતરાગોનો મોક્ષ મને ખપે છે. તે દહાડે ખબર નહીં પડેલી કે વીતરાગોનો આવો મોક્ષ છે. પણ મને ત્યારથી જ સમજણ પડે કે ઉપરી ના જોઈએ. ઊઠ અહીંથી કહે, એ મારે નથી જોઈતો તારો મોક્ષ ! એ ભગવાન, એને ઘેર જાય. મારે શું કામ છે તારું ? તું ભગવાન છે, તો હુંય ભગવાન છું ! ભલે ને, તું મને થોડો વખત તારા કાબૂમાં લેવા ફરતો હોય ! આઈ ડોન્ટ વોન્ટ ! પણ શેને માટે ભૂખ ? આ પાંચ ઈન્દ્રિયની લાલચો માટે ? શી લાલચો છે આમાં ? જાનવરનેય લાલચ છે ને આપણનેય લાલચ છે, તો તેમાં ને આપણામાં ફેર શું રહ્યો ?

પરવશતા, આઈ ડોન્ટ વોન્ટ

કોઈની નોકરી નહીં કરું એવો પહેલેથી ખ્યાલ ! નોકરી કરવી એ મને તો બહુ દુઃખ લાગ્યા કરે. એમ ને એમ મરી જવું સારું, પણ નોકરી એટલે બોસ મને ટૈડકાવે ? એ મોટામાં મોટો રોગ. પણ તે એ રોગે મને બચાવ્યો બહુ રીતે ! આ રોગ તો બહુ મોટો રોગ કે નોકરી નહીં કરું. છેવટે એક ભાઈબંધ કહે છે, ‘મોટાભાઈ કાઢી મેલશે ત્યારે શું કરશો ?’ મેં કહ્યું, ‘પાનની દુકાન કરીશ.’ પણ તે દશ વાગ્યા સુધી પાન ખવડાવી અને ઘેર અગ્યાર વાગે જઈને, ખઈને સૂઈ જવાનું એમાં ત્રણ રૂપિયા મળે તો ત્રણમાં ચલાવવાનું ને બે મળે તો બેમાં ચલાવવાનું, મને ચલાવતાં બધું આવડે છે, પણ મને આ પરતંત્રતા સહેજ પણ પસંદ નથી. પરવશતા આઈ ડોન્ટ વોન્ટ !!

અન્ડરહેન્ડને હંમેશાં રક્ષણ દીધાં

મારી લાઈફમાં ધંધો શો કરેલો ? ઉપરી જોડે બળવો અને અંડરહેન્ડનું રક્ષણ. આ મારો નિયમ. બળવો તો ખરો પણ ઉપરી જોડે. જગત આખું ક્યાં આગળ વશ થાય ? ઉપરીને ! અને અંડરહેન્ડને ટૈડકાવ ટૈડકાવ કરે. અને હું ઉપરીની જોડે બળવો કરી લઉં, એટલે લાભેલો (લાભ થયેલો) નહીં. તો અહીં આગળ મને પડેલીય નહોતી. પણ અંડરહેન્ડને બહુ સાચવેલા. અંડરહેન્ડ જે થઈ ગયા એનું તો બિલકુલ રક્ષણ કરવાનું, આ મોટામાં મોટો ગુણ.

પ્રશ્નકર્તા : ક્ષત્રિય ખરા ને !

દાદાશ્રી : હા, ક્ષત્રિય, આ ક્ષત્રિય ગુણ, તે રસ્તે જતાં કોઈ લડતાં હોય, તો જે હાર્યો હોય, જેણે માર ખાધો, એના પક્ષમાં રહું, એ ક્ષત્રિયપણું અમારું !

તોફાની સ્વભાવ, બાળપણમાં

આ તો અમને દેખાય આમ ! આમ ફર્યા કે તરત પેલું દેખાય, એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય, તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ? અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું.... આવું હતું, પછી આવું હતું, સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધુંય અમને દેખાય. સાહેબ ચિડાયા કરે. કહેવાય નહીં ને ચિડાયા કરે.

પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ?

દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય.

પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય ?

દાદાશ્રી : આ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય ! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ? પણ આ આડાઈ. ‘સાહેબ, એના મનમાં શું સમજે છે ?’ કહેશે. લે !! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, ‘ના, બાખડી બાંધવાની પહેલાં.’ બાખડી બાંધવાની કહેવાય એને. તમે બાખડી શબ્દ સાંભળેલો ? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું.

પ્રશ્નકર્તા : તો સાહેબ તમને કશું કહી ના શકે ?

દાદાશ્રી : કહેય ખરા, પણ કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખશે.

પ્રશ્નકર્તા : દાદા, તમે આવા તોફાની હતા ?

દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ.

પ્રશ્નકર્તા : અને એમાં આવું ‘જ્ઞાન’ થઈ ગયું, એ તો બહુ કહેવાય.

દાદાશ્રી : ‘જ્ઞાન’ થઈ ગયું. કારણ કે મહીં ચોખ્ખું હતું ને ? મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે, આની મિયાંપણી બહુ જ છે. ત્યારે કેટલાક તો કહેશે, ‘અરે, જવા દો ને, તુંડમિજાજી છે.’ એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી. એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તોય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી.

તે મનેય લાગ્યું કે હવે પાંસરો થઈ ગયો હું. કોઈએ પાંસરો કરવો ના પડે મને.

પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા ?

દાદાશ્રી : લોકોએ મારી-ઠોકીને, ઊંધું-ચત્તું કરીને, આમ-તેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો.

પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ?

દાદાશ્રી : કેટલાય અવતારથી આ પાંસરા થતા આવેલા, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો.

ભાષા શીખવા કરતાં ભગવાનમાં રસ

અંગ્રેજીના માસ્તરને કહી દીધેલું. મોટાભાઈ એમના ફ્રેન્ડ થતા હતા. મેં એમને કહ્યું કે તમારે જે કહેવું હોય તે કહેજો, તમારે ત્યાં ફસાયો છું. પંદર વર્ષથી આ ભણ ભણ કરું છું, હજી મેટ્રિક નથી થવાતું. એકડિયામાં બેઠો ત્યારથી પંદર વર્ષથી મેટ્રિક થવાતું નથી. આ દશ વર્ષમાં હું ભગવાન ખોળી કાઢત. મારાં વર્ષો ખોટાં ખોયાં ! વગરકામનું એ-બી-સી-ડી શીખવાડે ! કોઈકની ભાષા, ફોરેનની ભાષા શીખવા માટે મેટ્રિક સુધી ભણવું જોઈએ ? આ કઈ જાતનું ચક્કરપણું છે ! ફોરેનની ભાષા શીખવા માટે માણસનું અહીં આયુષ્ય અરધું જતું રહે !

લઘુતમ શીખતાં જડ્યા ભગવાન

અનંત અવતારથી એનું એ જ ભણે છે ને પાછું આવરાય છે. અજ્ઞાનને ભણવાનું ના હોય. અજ્ઞાન તો સહજ ભાવે આવડે. જ્ઞાનને ભણવાનું. મારે આવરણ ઓછું, તે તેરમે વરસે ભાન થયેલું. નાનપણમાં ગુજરાતી સ્કૂલમાં એક માસ્તરે મને કહ્યું, ‘આ તમે લઘુતમ શીખો.’ ત્યારે મેં કહ્યું, ‘લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?’ ત્યારે કહે છે, ‘આ બધી રકમો જે આપી છે, એમાં નાનામાં નાની રકમ, અવિભાજ્ય રકમ, જેને ફરી ભાગી ના શકાય એવી રકમ, એ શોધી કાઢવાની છે.’ ત્યારે હું તે વખતમાં નાની ઉંમરમાં, પણ માણસોને શું કહેતો હતો ? ‘આ રકમો સારી નથી.’ શબ્દ તો એવો બોલતો હતો. તે મને આ વાત માફક આવી. એટલે મને એમ લાગ્યું કે આ ‘રકમો’ની અંદર પછી એવું જ છે ને ? એટલે ભગવાન બધામાં અવિભાજ્યરૂપે રહેલા છે. તે મેં તેના પરથી તરત જ ભગવાન શોધી કાઢેલા. આ બધી રકમો જ છે ને ! એમાં ભગવાન અવિભાજ્યરૂપે રહેલા છે !

આત્મા સિવાય ન શીખ્યા કાંઈ

નાનપણમાં હું સાયકલ ફેરવું, તે બાવન રૂપિયામાં ‘રેલે’ સાયકલ આવતી હતી. તે સાયકલ ફેરવતો હતો. સાયકલમાં પંકચર પડે એટલે બધાં સૌ-સૌને ઘેર રિપેર કરે. હું તો ઉદાર એટલે એક સાયકલવાળો હતો, ત્યાં આગળ એને કહું કે, ‘ભઈ, આ પંકચર રિપેર કરજે.’ તો આ બધા મને કહે કે, ‘આ રિપેર કેમ તમે બહાર કરાવો છો ? આમાં શું કરવાનું છે ?’ મેં કહ્યું કે, ‘ભઈ, હું બધું શીખવા માટે આવ્યો નથી. આ દુનિયામાં બધી ચીજો છે, એ બધી શીખવા માટે હું આવ્યો નથી. હું તો આત્મા શીખવા માટે આવ્યો છું. અને જો આ બીજું બધું શીખવા રહું તો પેલું આત્માનું એટલું કાચું પડી જાય.’ એટલે હું કશું શીખ્યો જ નહીં. સાયકલ ચલાવવાની આવડતી હતી, તેય કેવી કે સીધું નહીં આવડેલું. પાછલે પૈડે રહીને પાછળની ધરી ઉપર પગ મૂકીને ચઢું તે ! આવડ્યું નહીં કશું. અને શીખવાનો પ્રયત્નેય કરેલો નહીં. આ તો જરૂરિયાત પૂરતું શીખેલો. બાકી શીખવાની જરૂર જ નહીં.

ને દુઃખદાયી થયું ઘડિયાળ

કશામાં ધ્યાન જ નહોતો આપતો. કશું નવું કંઈ શીખવાનું નહીં કરેલું. આ શીખે તો મારે એટલું પેલામાં રહી જાયને ! એટલે નવું શીખવાનું નહીં.

નાનપણમાં એક સેકન્ડહેન્ડ ઘડિયાળ પંદર રૂપિયાનું લાવ્યો હતો. તે આમ પહેરીને સૂઈ ગયો. તે અહીં આ કાનમાં દુઃખ્યું પછી. એટલે મેં કહ્યું કે આ તો ઊલટું દુઃખદાયી થયું. માટે ફરી નથી પહેર્યું !

ચાવી દેવામાં નથી વેડફયો ટાઈમ

ઘડિયાળને ચાવી આપવી એ મુશ્કેલી, એટલે પછી સાત દહાડાની ચાવીનું ઘડિયાળ લાવ્યા. અમારા ભાગીદાર કહે છે કે આ સાત દહાડાની ચાવીવાળું ઘડિયાળ છે, તે લાવીએ. પણ એક ઓળખાણવાળા આવ્યા, કહે કે, ‘બહુ સરસ ઘડિયાળ છે.’ તે મેં કહ્યું કે, ‘તમે લઈ જાવ, મારે ચાવી આપવાની મુશ્કેલી છે ને !’ તે પછી હીરાબા વઢવા માંડ્યા કે, ‘તમે તો બધું જે ને તે આપી જ દો છો. હવે હું ઘડિયાળ વગર શું જોઈશ ?’ એટલે ઘડિયાળની ચાવી મેં ફેરવી નથી કોઈ દહાડોય ! અત્યારે અમારા ભાણાભાઈ પંદર વર્ષથી ઘડિયાળની ચાવી ફેરવે છે. અને મારે તો કેલેન્ડર જોવાનું જ ના હોય ! અને મારે શું કરવાનું કેલેન્ડરને ? કોણ ફાડે એને ? કેલેન્ડરનું પેલું કાગળિયું મેં ફાડ્યું નથી. આવી નવરાશ, મને આવો ટાઈમ જ ના હોય ને ! ઘડિયાળની ચાવી ફેરવું તો મારી ચાવી ક્યારે ફરે ? એટલે મેં ટાઈમ કોઈ વસ્તુમાં આપ્યો જ નથી.

રેડિયાને મેડનેસ કહી

ભઈબંધે કહ્યું કે રેડિયો લાવો. મેં કહ્યું કે અલ્યા, રેડિયો ? અને તે હું સાંભળું ? તો મારા ટાઈમનું શું થાય ? આ .... માણસની પાસે સાંભળતા જ કંટાળો આવે છે, તો આ રેડિયો ના હોય અમારી પાસે ! એ મેડનેસ છે બધી !!

ફોનની ખલેલ પણ વળગાડી નહીં

મને કહે છે કે, ‘આપણે ફોન લઈએ ?’ મેં કહ્યું, ‘ના, એ વળગણ પાછું ક્યાં વળગાડીએ ?’ આપણે નિરાંતે સૂઈ ગયા હોય તો ઘંટડી વાગે એ ઉપાધિ ક્યાં વહોરીએ ? જેને ટાઢ વાતી હશે, તે આપણે ત્યાં અહીં આવશે. ટાઢ નહીં વાતી હોય તો અહીં આવવાનો નથી. અને આપણને કંઈ ટાઢ વાતી નથી. લોકો તો શોખની ખાતર રાખવાવાળા કે આપણો વટ વધે ! તે વટવાળા વટદાર લોકો માટે ઠીક છે. બાકી, આપણે વટદાર ન્હોય. આપણે મામૂલી આદમી, નિરાંતે સૂઈ રહેનારા, આખી રાત પોતાની સ્વતંત્રતાથી સૂવે ! એટલે એ ટેલિફોન કોણ રાખે ? ઘંટડી પાછી ખખડી કે ઉપાધિ ! હું તો બીજે દહાડે બહાર ફેંકી દઉં. ઘંટડી સહેજ ખખડી કે હું જાણું કે આ તો ઊંઘમાં ખલેલ કરી. વખતે માકણ-મચ્છર ખલેલ કરે. તે તો ફરજિયાત છે. પણ આ તો મરજિયાત ખલેલ, એ કેમ પોષાય ?

અમે પહેલાં ગાડી રાખતા હતા. ત્યારે ડ્રાઈવર કહે, ‘સાહેબ, ફલાણા પાર્ટ તૂટી ગયા છે.’ હું તો નામેય ના જાણું. પછી મને થયું, આ તો ફસામણ છે ! ફસામણ તો વાઈફ જોડે થઈ તે થઈ ગઈ ને એની જોડે છોકરાં થયાં. તે એ એક બજાર ઊભું કરવું હોય તો કરાય પણ આ ફસામણનાં બે-ચાર બજાર હોય નહીં. આવાં પછી કેટલાં બજાર માથે લઈને ફર્યા કરીએ ?

આ તો બધી કોમનસેન્સની વાતો કહેવાય ! પેલો ડ્રાઈવર આમ પેટ્રોલ ગાડીમાંથી કાઢી લે ને પછી કહેશે કે, કાકા, પેટ્રોલ નાખવાનું છે ? હવે કાકા જાણે નહીં. આ શી પીડા ? તે પછી અમે ગાડી રાખતા નહોતા ! પાછા સંજોગવશાત્ એવું કહીએય ખરા કે ગાડી લાવો !

ત્યાં ન દીઠું સુખ

પ્રશ્નકર્તા : દાદા, આ અમારે બધું જોઈએ છે ને તમારે ના હોય, એનું કારણ શું ?

દાદાશ્રી : એ તો તમે લોકોનું શીખીને કરો. હું લોકોનું શીખ્યો નથી. હું પહેલેથી લોક વિરુદ્ધ ચાલનારો માણસ. લોક જે ચાલે ને, રસ્તો આમ ગોળ ફંટાયેલો હોય, લોક રોડે રોડે ફરીને જાય, ત્યારે હું હિસાબ કાઢું કે આમ સીધું એક માઈલ હોય તો ગોળ ફરીએ તો ત્રણ માઈલ થાય, તો અરધો ગોળ હોય તો દોઢ માઈલ થાય, તો હું સીધો પડું આમ. રસ્તો ખોળી કાઢીને, સીધો પડી જઉં. હું આ લોક વિરુદ્ધ ચાલેલો. આ આમના કહેવા પ્રમાણે ચલાય ? લોકસંજ્ઞા નામેય નહીં. લોકોએ જેમાં સુખ માનેલું, મને સુખ એમાં દેખાયેલું નહીં.

શોખ, એક સરસ કપડાંનો જ

ફક્ત છેતરાયેલો એટલો જ કે લૂગડાં ફર્સ્ટ ક્લાસ પહેરું. એક ટેવ કહો કે માયા લાવેલો એટલી કે લૂગડાં સારાં પહેરવાની ટેવ ! બીજું કશું નહીં. ઓરડીઓ જેવી હશે તેવી ચાલશે.

પ્રશ્નકર્તા : નાનપણથી ને ?

દાદાશ્રી : હા, નાનપણમાં.

પ્રશ્નકર્તા : સ્કૂલમાં જતાં જતાં જ પણ સારાં લૂગડાં જોઈએ ?

દાદાશ્રી : સ્કૂલમાં જતાં જતાંય બધે, ગમે ત્યારે કપડું સરસમાં સરસ જોઈએ.

એટલે આ આટલું... કપડાં, એટલામાં જ શક્તિ વપરાયેલી. કપડાં સીવડાવવા માટે પાછું દરજીને કહેવું પડે, કે ‘આમ જોજે હં, કોલર આવો હોવો જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ.’ બાકી બીજા કશામાં શક્તિ નહીં વાપરેલી. પૈણવામાંય શક્તિ વાપરી નથી.

નાપાસ થયા પણ યોજનાબદ્ધ

મારા ફાધરે અને મોટાભાઈએ, બેએ સંતલસ કરેલી કે આ મેટ્રિક થાય ને, તે આપણા કુટુંબમાં એક સૂબા થયેલા છે, એટલે આમને સૂબો બનાવીએ. એ સંતલસ હું સાંભળી ગયેલો. એમને સૂબો બનાવવાની ઈચ્છા હતી. એમની ધારણા તૂટી પડી. મારા મનમાં એમ થયું કે લોકો મને સૂબો બનાવવા માગે છે, તો સરસૂબો, ઉપર મને ટૈડકાવશે. માટે આપણે સૂબો થવું નથી. કારણ કે આ અવતાર એક મહાપરાણે મળ્યો અને ત્યાં પાછો ટૈડકાવનારો મળે ! ત્યારે જો ટૈડકાવનારો મળે તો આ અવતારને શું કરવાનો ? આપણને કશી મોજશોખની ચીજ જોઈતી નથી અને પેલો ટૈડકાવે એ કેમ પોષાય ? જેને મોજશોખની ચીજ જોઈતી હોય તેને ભલે ટૈડકાવવાનું મળે. મારે તો આવું તેવું કશું જોઈતું નથી. એટલે મેં નક્કી કર્યું કે પાનની દુકાન આપણે કરીશું, પણ આવું ટૈડકાવવાનું નહીં ફાવે ! એટલે મેં નક્કી કર્યું કે મેટ્રિકમાં નાપાસ જ થવું. એટલે આ વહેતું જ મૂકેલું.

પ્રશ્નકર્તા : યોજનાબદ્ધ ?

દાદાશ્રી : હા, યોજનાબદ્ધ ! એટલે ફેઈલ થયેલો તે યોજનાબદ્ધ. એટલે મેટ્રિક ફેઈલ પાછો ! ત્યારે લોકો મને કહે કે, ‘દાદા, તમે કેટલુંક ભણેલા હશો ?’ પેલું ‘સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ એવું બધું બોલું, ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ, ધેર આર ટુ વ્યૂ પોઈન્ટસ.... આવું બધું બોલું, એટલે પેલા જાણે કે દાદા તો ગ્રેજ્યુએટની બહુ આગળ ગયા હશે ! મેં કહ્યું કે, ‘ભઈ, એ વાત ઊઘાડવા કરવામાં મઝા નથી. ત્યારે કહે કે, પણ કહો તો ખરા, ભણવામાં કેટલું ગયા ? ત્યારે મેં કહ્યું કે, મેટ્રિક ફેઈલ !

મેટ્રિક ફેઈલ થયો એટલે મોટાભાઈ કહે છે, ‘તને કશું આવડતું નથી.’ મેં કહ્યું, ‘બ્રેઈન ખલાસ થઈ ગયું છે.’ ત્યારે કહે, ‘પહેલાં બહુ સારું આવડતું હતુંને ?’ મેં કહ્યું, ‘ગમે તે હો, પણ બ્રેઈન ખલાસ થઈ ગયું છે.’ ત્યારે કહે, ‘ધંધામાં પેસી જઈશ ?’ મેં કહ્યું, ‘ધંધામાં શું કરું, પણ તમે કહો એટલું કરીશ.’ તે ધંધામાં તો દોઢ વર્ષમાં તો ભાઈ કહે છે કે, ‘ફર્સ્ટ નંબર તું તો લાવ્યો પાછો.’ ધંધામાં રુચિ પડી ગઈ, પૈસા કમાવવાનું જડ્યું !

આ તો સૂબો થવાનો હતો, તેને બદલે પછી બ્રધર કંટાળી ગયા કે હવે ઊંધે રવાડે ચઢ્યો છે, એના કરતાં ધંધામાં ઘાલી દો. એટલે મેં જાણ્યું કે, આપણી દશા ફરી હવે. શનિની દશા હતી તે ઊતરી. ધંધામાં તો આવડે બધું, ફટ ફટ બધું આવડે. અને હેય.... હોટલમાં જવાય, ચા-પાણી પીવાય ને બધુંય થાય ને ધંધો કંટ્રાક્ટનો નાગો !

પૈણતી વખતેય મૂર્ચ્છા નહીં

પૈણવામાં નવો ફેંટો હતો ને, તે ઉપર પેલા ખૂંપનો બોજો આવ્યો, તે ફેંટો ખસી ગયો ને આટલે આવ્યું. તે આટલે આવ્યું, પછી આમ જોયું તો હીરાબા કંઈ દેખાયાં નહીં. પોતે પૈણવા આવ્યો તે આમ જુએ જ ને ! કંઈ સામાન-બામાન ના જુએ ? કારણ કે પહેલાં દેખાડતા નહોતા. દેખાડવાનો રિવાજ નહોતો. તે માંહ્યરામાં આવે ત્યાર પછી જ જુએ. ત્યારે મારે પેલો ખૂંપ મોઢે મોટો એટલે જોવાનું બંધ થઈ ગયેલું. એટલે પછી તરત મને વિચાર આવ્યો કે ‘આ પૈણીએ છીએ, પણ બેમાંથી એક જણે રાંડવું તો પડશે જ. બેમાંથી એકને, બેઉને નહીં રાંડવાનું ?’ આ વિચાર મને આવેલો ત્યાં આગળ. આમ સ્પર્શી ગયો. કારણ કે પેલું મોઢું જોયું નહીંને ? એટલે આ વિચાર આવ્યો !

ઓહોહો ! ‘એમને’ ‘ગેસ્ટ’ કહ્યા !

હું ઓગણીસ વર્ષનો હતો, તે ઓગણીસ વર્ષે બાબાનો જન્મ થયો હતો. તે બધા ફ્રેન્ડસર્કલને પેંડા ખવડાવ્યા હતા અને બાબો મરી ગયો ત્યારેય પેંડા ખવડાવ્યા. એટલે પછી બધા કહે છે કે, ‘બીજો થયો ને ?’ મેં કહ્યું કે, ‘એક વાર પેંડા ખાવ તમે. પછી શું થયું એ હકીકત તમને કહીશ ! હા, નહીં તો શોકના માર્યા પેંડા ના ખાય. એટલે પહેલા મેં કહ્યું નહીં અને પેંડા ખવડાવ્યા. ખઈ રહ્યા પછી મેં કહ્યું કે, ‘પેલા મહેમાન આવ્યા હતા એ ગયા ! ત્યારે કહે કે, ‘આવું થતું હશે ? આ પેંડા ખવડાવ્યા અમને ! આ તો અમારે ઊલટી થાય એવું થઈ ગયું !’ મેં કહ્યું કે, ‘‘એવું કશું કરવા જેવું નથી. એ મહેમાન જ હતા. ગેસ્ટ જ હતા. અને ગેસ્ટ આવે તો ‘આવો પધારો’ એમ કહેવાનું અને જાય ત્યારે ‘પધારજો’ એમ કહેવાનું અને ગેસ્ટ જોડે આ શી ભાંજગડ ?’’ ત્યારે કહે છે એ ‘ગેસ્ટ કહેવાય ? એ તો છોકરો છે ને ?’ મેં કહ્યું કે, પણ મારે માટે આ ગેસ્ટ છે ! પછી બેબીના વખતેય આવું ને આવું જ થયેલું. બધા ભૂલી ગયા ને પેંડા ખાધા. બેબી મરી ગઈ ત્યારેય બધાએ પેંડા ખાધા. આપણા લોકો તો ભૂલી જાય પાછા. આમને ભૂલતાં કેટલી વાર લાગે ? આ લોકોને ભૂલતાં શું વાર લાગે ? વાર લાગે ખરી ? મૂર્છિત અવસ્થા ખરીને ! મૂર્છિત અવસ્થા એટલે શું કે ભૂલતાં વાર જ નહીં ને !

છતાં મિત્રોએ નવાજ્યા સુપર હ્યુમન

પ્રશ્નકર્તા : તે આ તમે જે સત્સંગ શરૂ કર્યો એ કંઈ ઉંમરે ? અગર તો પેલા બગીચામાં બધાને પેંડા ખવડાવ્યા, એ સત્સંગ કહેવાય ?

દાદાશ્રી : ના, એ સત્સંગ ના કહેવાય. એ તો મારું દર્શન છે. એક જાતની સૂઝ છે મારી ! સત્સંગ એ લગભગ બેતાળીસથી શરુ થયો. બેતાળીસ એટલે એને આજ એકતાળીસ વર્ષ થયા. મૂળ શરૂઆત સત્સંગની, બેતાળીસથી શરૂ થયો ને આઠમાં મારો જન્મ, એટલે ચોત્રીસ વર્ષની ઉંમર આવેને, પણ લગભગ બત્રીસ વર્ષની ઉંમરથી શરૂ થયેલો. તે પહેલાં થોડાં થોડાં વાક્યો લોકોને મળતાં ગયેલાં ખરાં.

મેં એટલે મિત્રોને કહી દીધેલું બાવીસ વર્ષની ઉંમરે કે, ‘ભાઈ, તમે અમારું કોઈ કામ ક્યારેય પણ કરશો નહીં.’ અહંકાર તો પૂરો હતો જ. એટલે કહ્યું કે, ‘અને તમારું કામ તમારે રાત્રે પણ કરાવી જવું.’ પછી મિત્રો એમ કહેવા માંડ્યા કે, ‘આવું શા માટે કહો છો ? તમારે-અમારે કરવાની જરૂર નહીં.’

એવું બનેલું, એક જણને ત્યાં હું રાત્રે બાર વાગે ગયો. રાત્રે સિનેમા છૂટે, તે રાત્રે બાર વાગે ગયો. એટલે પેલા ભાઈના મનમા એમ થયું કે કોઈ દહાડો આ રાત્રે બાર વાગે આવે નહીં ને આજે આવ્યા છે, તે કશું પૈસા-બૈસા જોઈતા હશે ? એટલે એણે બીજો ભાવ કર્યો. તમને સમજાય છે ને ? મારે કશું જોઈતું નહોતું. પેલાની દ્રષ્ટિ મને બદલાયેલી લાગી. રોજ દ્રષ્ટિ હતી, તે આજે આ દ્રષ્ટિ બગડી છે. એટલે હું સમજ્યો, ઘેર જઈને વિશ્લેષણ કર્યું. મને લાગ્યું કે આ જગતનાં મનુષ્યને દ્રષ્ટિ બગાડતાં વાર નહીં લાગે. માટે આપણી જોડે રહે છે તેને, આ લોકોને એક એવું નિર્ભય પદ આપો કે એમને પછી દ્રષ્ટિ જ બગડે નહીં. એટલે મેં કહ્યું કે, ‘તમારે કોઈએ મારું કામ કરવું જ નહીં. એટલે મારો ભો તમને ના હોવો જોઈએ કે આ કશું લેવા આવ્યા હશે ? ત્યારે કહે, ‘એમ કેમ ?’ મેં કહ્યું કે, ‘હું બે હાથવાળા પાસે કશું માંગતો જ નથી. કારણ કે બે હાથવાળા પોતે જ દુઃખી છે અને એ કંઈક ખોળે છે. એની પાસે હું આશા રાખતો નથી. પણ મારી પાસે તમે આશા રાખજો. કારણ કે તમે તો ખોળો છો અને તમને છૂટ છે. મારી પાસે તમારું કામ કરાવી જજો, પણ મારું કામ કોઈ કરશો નહીં.’ એમ કહી દીધું. એટલે નિર્ભય બનાવ્યા હતા. ત્યારે એ લોકોએ શું કહ્યું કે, ‘સુપર હ્યુમન સિવાય આવું કોઈ બોલી શકે નહીં !’ એટલે શું કહ્યું કે આ સુપર હ્યુમનનો સ્વભાવ હોય, હ્યુમનનો નેચર નહીં !

નિરંતર વિચારશીલ દશા

મને આ પ્રશ્ન ૧૯૨૮માં ઊભો થયો હતો. ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, ‘અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?’ પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ છે.’ એટલે પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?’ તે દહાડે અમને જ્ઞાન નહોતું. જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું, તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઈ અજ્ઞાન કોઈએ લઈ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરું જ ને? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, ‘જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા.

જીવનમાં નિયમ જ એવો...

એટલે હું તો નાનપણથી એક જ શીખેલો કે ભઈ, તું મને મળ્યો છે ને જો તને કંઈ પણ સુખ ના થાય તો મારું મળેલું તને ખોટું છે, એવું હું કહેતો હતો એને ! એ ગમે એટલો નાલાયક હોય, તેનું મારે જોવાનું નથી પણ હું તને ભેગો થયો પણ જો કદી મારા તરફની સુગંધી ના આવી તે કેમ ચાલે ? આ અગરબત્તી નાલાયકોને સુગંધી આપે કે ના આપે ?

પ્રશ્નકર્તા : બધાંયને આપે.

દાદાશ્રી : એવી રીતે મારી સુગંધી જો તને ના આવી તો પછી મારી સુગંધી જ ના કહેવાય. એટલે કંઈક લાભ થવો જ જોઈએ. એવો નિયમ મારો પહેલેથી છે.

અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ?

પ્રશ્નકર્તા : દાદા, આ તમારા પગમાં કણીઓ શાથી પડી ગઇ છે?

દાદાશ્રી : એ તો અમે આત્મા પ્રાપ્ત કરવા તપ કરેલું. તે કેવું તપ કે બૂટમાં ખીલો ઊંચો આવે તો તેને ઠોકવાનો નહીં, એમ જ ચલાવ્યે રાખવાનું. ત્યાર પછી અમને ખબર પડી કે આ તો અમે અવળે માર્ગે છીએ. આ જૈનોનું અમે તપ કરેલું. બૂટની ખીલી બહાર નીકળે ને ચૂંક વાગે તે વખતે જો આત્મા હાલી જાય તો એ આત્મા જ પ્રાપ્ત થયો નથી એવું હું માનતો હતો. એટલે એ તપ થવા દઇએ. પણ એ તપનો ડાઘ હજીય નથી ગયો ! તપનો ડાઘ આખી જિંદગી ના જાય. આ અવળો માર્ગ છે એમ અમને સમજાયેલું. તપ તો અંદરનું જોઇએ.

પ્રાપ્ત તપ ભોગવ્યું, અદીઠપણે

મુંબઈથી વડોદરા કારમાં આવવાનું હતું ને બેસતાં જ કહી દીધું કે, ‘સાત કલાક એકની એક જગ્યાએ બેસી રહેવાનું છે. તપ આવ્યું છે ! અમે તમારી જોડે તો વાતો કરીએ, પણ અમારે મહીં અમારી વાત ચાલુ જ હોય કે ‘આજે તમને પ્રાપ્ત તપ આવ્યું છે. એટલે એક અક્ષરેય બોલવાનો નહીં.’ લોક તો દિલાસો આપવા માગે કે, ‘દાદા, તમને ફાવ્યું કે નહીં ?’ તો કહીએ, ‘બહુ સરસ ફાવ્યું.’ પણ કમિશન અમે કોઈને આપીએ નહીં, કારણ ભોગવીએ અમે ! એક અક્ષરેય બોલે એ દાદા બીજા ! એને પ્રાપ્ત તપ કર્યું કહેવાય !

રાહ જોવા કરતાં, ઉપયોગ ગોઠવણી

જ્યારે બાવીસ વર્ષનો હતો, એક જગ્યાએ એક મિનિટ માટે બસ ચૂકી ગયો. હાલોલ રોડ ઉપર હતો, ત્યાં એક ગામ છે, ત્યાં આગળ હતો ને બસ આવી. અને હું આમ આવેલો કલાક પહેલેથી, પણ હોટલમાંથી આવતાં જ જરાક એક મિનિટ થઈ ને બસ ઊપડી ગઈ. એટલે આ વિષાદનું સ્થાન કહેવાય. જો આ પહેલેથી ના આવ્યા હોત અને તે ઘડીએ જો બસ આવી હોત તો આપણે જાણીએ કે ‘લેટ’ થયા ચાલો. તો બહુ વિષાદ ના થાય. આ તો પહેલેથી આવ્યા ને ગાડી ના પકડાઈ ! અને દોઢ કલાક પછી બીજી ગાડી આવે.

હવે ત્યાં આગળ પેલું મારે જે દોઢ કલાક રાહ જોવાનું થયું ને, ત્યાં સ્થિતિ શું થઈ ? એટલે એય મહીં મશીન ચાલ્યા કરે ! હવે એ ઘડભાંજ કેટલી થાય તે ! મજૂરને પચાસ ઘડભાંજ થાય ને મને લાખ થાય ! તે જરાય કશું ગમે નહીં, ઊભું રહેવાનું ગમે નહીં. કોઈ કહેશે, ‘આવો, બેસો’ અને ગાદી હોય તોય પણ ગમે નહીં. હવે દોઢ કલાક તો વીસ કલાક જેવા લાગે. એટલે મેં કહ્યું કે, મોટામાં મોટી મૂર્ખાઈ હોય તો આ રાહ જોવી તે છે. કોઈ પણ માણસની કે કોઈ વસ્તુની રાહ જોવી એના જેવી ફુલિશનેસ નથી આ દુનિયામાં !! એટલે ત્યારથી, બાવીસ વર્ષની ઉંમરથી રાહ જોવાનું બંધ કરી દીધું. અને જ્યારે રાહ જોવાનું થાય ને, તે ઘડીએ બીજું વર્ક સોંપી દીધેલું. રાહ તો જોવી જ પડે, છૂટકો જ નહીં ને ! પણ એને બદલે આપણે જાણ્યું કે આ રાહ જોવાનો ટાઈમ બહુ સરસ છે. નહીં તો ફાંફાં માર માર કરે કે એ આવી કે નહીં, ગાડી આવી કે નથી આવી ! એટલે તે ટાઈમ અમે બીજી ગોઠવણી કરી દીધેલી. એટલે પછી અમને નિરાંત ! કશું ગોઠવણી થાય કે ના થાય આપણે ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : કામ તો બધાં બહુ હોય છે ને ?

પ્રશ્નકર્તા : એટલે મનને કામે લગાડી દો.

દાદાશ્રી : હા, મનને કામે લગાડી દેવું.

પ્રશ્નકર્તા : શું કામે લગાડ્યું ?

દાદાશ્રી : કોઈ પણ જાતની ગોઠવણી ! એટલે તે દહાડે હું શું કરતો હતો ? કોઈ સંતોનું હોય અગર તો કૃપાળુદેવનું હોય, એ એનું હું બોલું નહીં, એને હું વાંચું. બોલે ત્યારે ગોખેલું કહેવાય. એને હું વાંચું બધું. એ તમને સમજમાં આવે છે ?

પ્રશ્નકર્તા : એ વાંચો કેવી રીતે, દાદા ? ચોપડી વગર કેવી રીતે વાંચો ?

દાદાશ્રી : ચોપડી વગર વાંચું. મને તો ‘હે પ્રભુ’ એ પેલાં લખેલાં દેખાય ને હું વાંચ્યા કરું. નહીં તો મન ગોખે, તો પાછું પેલું સંકલ્પ-વિકલ્પ ચાલુ ! અને પેલું ગોખવાનું તો રહ્યું એટલે મન થયું નવરું. ‘હે પ્રભુ, હે પ્રભુ’ બોલ્યા કરે અને મન નવરું પડ્યા કરતું હોય, મન બહાર જતું રહેલું હોય. એટલે મેં એડજસ્ટમેન્ટ લીધેલું. તે આમ દેખાય,

‘‘હે પ્રભુ, હે પ્રભુ, શું કરું, દીનાનાથ દયાળ,

હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.’’

એ શબ્દ-શબ્દ સાથે જ બધું, અક્ષર, માતર-બાતર, બધું સાથે દેખાય ! કૃપાળુદેવે બીજો રસ્તો બતાડ્યો હતો, કે ઊંધું બોલ, છેલ્લેથી ઉપર આવ. ત્યારે લોકોને એનીય પ્રેક્ટિસ પડી ગઈ, ટેવ પડી ગઈ. મનનો સ્વભાવ એવો છે કે તમે જેમાં ઘાલોને, એને ટેવ પડી જાય, ગોખી નાખે. અને આ વાંચવાનું એમાં ગોખાય નહીં, આંખે દેખાવું જોઈએ. એટલે આ અમારી મોટામાં મોટી શોધખોળ, વાંચવાની છે. અને પછી અમે બીજાને શીખવાડીએ. આ બધાને શીખવાડેલું કે વાંચીને બોલો.

પ્રશ્નકર્તા : પણ દાદા, આ બાવીસમે વર્ષે આ તાકાત હતી ?

દાદાશ્રી : હા. બાવીસમે વર્ષે એ તાકાત હતી.

મૂંઝવણમાં ખીલી આંતરસૂઝ

એટલે આ મૂંઝાયો માટે આ જ્ઞાન નીકળ્યું. દોઢ કલાક જો મૂંઝાયો ના હોત....

પ્રશ્નકર્તા : એક મિનિટ ચૂક્યા ના હોત....

દાદાશ્રી : એ મિનિટ ચૂક્યાને, તેના ફળરૂપે આ જ્ઞાન ઊભું થયું. એટલે ઠોકરો ખઈ ખઈને આ જ્ઞાન ઊભું થયું છે, સૂઝ ઊભી થઈ છે. જ્યારે ઠોકર વાગી કે સૂઝ ઊભી થઈ જાય. અને એ સૂઝ મને હેલ્પિંગ જ કાયમ રહે. એટલે પછી મેં રાહ જોઈ નથી, બાવીસ વર્ષથી પછી મેં કશી રાહ જોઈ નથી. ગાડી આજ સાડા ત્રણ કલાક ‘લેટ’ છે, એટલે આપણે જેમ તેમ ટાઈમ પસાર ના કરીએ અને આપણે ઉપયોગપૂર્વક રહેવાનું.

આમ ગોઠવી કાઉન્ટર પુલીઓ

હવે રાહ જોવાની ને પાછાં જબરજસ્ત ‘રિવોલ્યુશન’ !

આ મજૂરોને મિનિટે પચાસ રિવોલ્યુશન હોય, જ્યારે મને મિનિટે એક લાખ રિવોલ્યુશન હોય. એટલે મજૂરોમાં ને મારામાં ફેર કેટલો ? એને પચાસ રિવોલ્યુશન એટલે તમે એને વાત કહો, તો એ વાત પહોંચતાં બહુ વાર લાગે. તમે સાદી વાત, સાદી વ્યવહારની વાત કહો તો એને સમજણ ના પડે. એટલે પછી તમે બીજી રીતે સમજાવો, ત્યારે એને પહોંચે એ. હવે મારાં રિવોલ્યુશન બહુ એટલે મારી વાત આ ઊંચી નાતવાળાને સમજતાં બહુ વાર લાગતી હતી. આપણે સમજાવીએ ને એ સમજે નહીં. એટલે હું શું કહું કે ‘નાલાયક છે, અક્કલ વગરનો છે.’ તે પછી મહીં પાવર બહુ વધી જાય. એય હું કહું છું ને સમજતો નથી ? કેવો મૂરખ માણસ છે ?’ આમ કહીને બધું એની પર ગુસ્સો કર્યા કરું. પછી મને સમજાયું કે આ રિવોલ્યુશન્સ છે અને એ સામાને પહોંચતું નથી. હવે આપણે સામાનો ગુનો કહીએ તે આપણો ગુનો છે. એટલે પછી મેં પુલીઓ દેવા માંડી.

કારણ કે પંદરસો રિવોલ્યુશનનો પંપ હોય અને ત્રણ હજારનું ઈન્જીન હોય તો પંપ તોડી નાખે. તે એના માટે પુલી નાખવી પડે, કાઉન્ટર પુલી. આ ત્રણ હજારનું ભલે હોય અને પેલું પંદરસેંનું ભલે હોય, પણ વચ્ચે પેલી પુલીઓ નાખવી પડે કે જેથી કરીને પેલાને પંદરસેં મળી રહે. આપની સમજમાં આવે છે ને, કાઉન્ટર પુલી ? એવું પછી મેં લોકોની જોડે વાત કરતાં કાઉન્ટર પુલી રાખવા માંડી. એટલે પછી મારે ગુસ્સે થવાનું બંધ થઈ ગયું. વાત એને સમજાય એવી રીતે કાઉન્ટર પુલી નાખવાની !

[3] અહંકાર-માન સામે જાગૃતિ

રહેવાનું સ્થાન, પણ વિચારણાપૂર્વક

વણિકનો માલ થોડો ક્ષત્રિયમાં નાખીએ અને ક્ષત્રિયનો માલ થોડો વણિકમાં નાખીએ અને પછી જે મિક્ષ્ચર થાય એ બહુ સરસ થાય. ખટ-મીઠી ત્યારે થાયને, ને ત્યારે શ્રીખંડ સરસ થાય. એટલે અમે તો પહેલેથી જ શું કરેલું ? પહેલાં તો અમે પટેલોની પોળમાં રહેતા હતા. અમારા મોટાભાઈ પટેલો જોડે વ્યવહાર રાખતા. તે મને એ વ્યવહાર પોષાતો નહીં. નાનો હતો પણ પટેલોની જોડે રહેવાનું પોષાયું નહીં મને. શાથી ના પોષાયું કે આમ ઉંમર તો બાવીસ વર્ષની, પણ અહીં મુંબઈ અમથો ફરવા આવું ને પાછા જઈએ ત્યારે હલવો લઈ જઈએ. આમ સસ્તો, તે લઈ જઈએ. તે અમારાં ભાભી પાડોશી બધાંને આપે. એવું એક બે વખત લઈ ગયેલો. ને એક વખત ભૂલી ગયો. તે બધા પાડોશીઓ જેને તે મળેને કહે કે ‘આ ફેરો હલવો ના લાવ્યા ?’ મને થયું કે, ‘આ પીડા નહોતી ને ક્યાંથી આવી ? પહેલાં આવી પીડા નહોતી. કોઈ ના લાવ્યા એવું તેવું અપમાન કરતું નહોતું. આ લાવ્યા તે જ આપણે ભૂલ કરી. એક વખત લાવ્યા, બે વખત લાવ્યા ને ત્રીજી વખત ના લાવ્યા એટલે વેશ થઈ પડ્યો. લ્યો, આ ન લાવ્યા. તે હવે આપણે ફસાયા. એટલે આ લોકો જોડે વ્યવહાર કરવા જેવો નથી.’

બાકી એ ક્ષત્રિય, આમનો વ્યવહાર બધો કેવો હોય ? એ કહેશે કે માથું જરૂર હોય તો અમારું માથું લઈ લેજો પણ તમારું અમને આપજો. માથું જ આપવા-લેવાની તૈયારીઓ. આમના સોદા કેવા ? મોટા જ. સટ્ટાના બહુ મોટા બિઝનેસ, માથા જ લે-મેલ કરવાનાં. એટલે આપણે આ માથું આપવાનું-લેવાનું પોષાય નહીં. આપણને કોઈનું માથું જોઈતું ય નથી અને એ પાછો આપણું માથું લેવા આવે. એવા સોદામાં આપણે પડવું જ નથી. એટલે નક્કી કર્યું કે વણિકોની જોડે રહો.

કારણ કે એક માણસ મને કહે કે રાવણનું રાજ શાથી જતું રહ્યું ? ત્યારે મેં કહ્યું કે, ‘શાથી ગયું, મને સમજણ પાડને ?’ ત્યારે કહે છે કે ‘જો એક વાણિયો રાખતો હોતને સેક્રેટરી-એનો દિવાન, તો રાજ ના જાત ! મેં કહ્યું, કે ‘શી રીતે ના જાત ?’ ત્યારે કહે છે, સીતાની વાત નારદે કરી કે સીતા બહુ રૂપાળી છે, આમ છે ને તેમ છે. તે ઘડીએ રાવણના મનમાં પાણી ચઢી ગયું કે ગમે તે રસ્તે સીતા પ્રાપ્ત કરવી છે. તે વખતે જો વણિક એનો દિવાન હોત તો એમ કહેત કે, ‘સાહેબ, થોડી વખત ટકોને, મેં બીજી બહુ સરસ જોઈ છે, એવી સરસ સ્ત્રી જોઈ છે.’ એટલે રાવણને અણી ચૂકાવત અને અણી ચૂક્યો સો વર્ષ જીવે. તે આ વાત પેલા માણસે મને કહેલી. મેં કહ્યું, વાત તો ડહાપણની છે આપણને અણી ચૂકાવવા માટે જોઈએને ! એટલે આ વણિકોની જોડે, બે બાજુ વણિક હોયને, તેની જોડે રહેવાનું થયું, આ ચાલીશ વર્ષથી !

અમે ઘરમાં કહી દીધેલું કે આપણે ત્યાં જે કોઈ લેવા આવે તો તે આપવું. પાછું આપી જાય તો લેવું, પણ માગવું તો ક્યારેય નહીં. એક ફેરો આપ્યું હોય, બીજી વખત ફરી આપવું પડે, ત્રીજી વખત આપવું પડે, સો વખત આપવું પડે, તોય પાછું માગવું નહીં. આપી જાય તો લેવું. પણ એ વણિકોનો વ્યવહાર એવો સુંદર કે વણિકોને ત્યાં આ હલવાનું આખું ચકતું મોકલાવી આપીએ અને આવતા વખતે અરધો ટુકડો કે પા ટુકડો મોકલાવીએ તોય બૂમ નહીં, બરાડા નહીં. અને એકાદ વખત કંઈ ના મોકલીએ તોય બૂમ-બરાડો નહીં. તે એમની જોડે પોષાય. આપણને બૂમ-બરાડાવાળા જોડે શી રીતે પોષાય ?

તે પછી મેં એક મહેતાજીને નોકરીએ રાખ્યા હતા. એક ભાઈ મને કહેવા આવ્યા કે તમને વણિક બહુ પસંદ છે, તો આ વણિકને નોકરીમાં રાખશો ? તે મેં કહ્યું, આવી જા કારખાનામાં, આટલા બધા માણસો છે અને તું પાછો વણિક છો તો સારું છે. એટલે વણિકને મારી જોડે રાખતો કાયમ.

એ બધુંય માન માટે જ

રોજ ચચ્ચાર ગાડીઓ ઘર આગળ પડી રહે. મામાની પોળ, સંસ્કારી પોળ. આજથી પિસ્તાળીસ વર્ષ પર ક્યાં બંગલામાં લોકો રહેતા હતા ? મામાની પોળ બહુ ઉત્તમ ગણાતી હતી. તે દહાડે અમે ત્યાં મામાની પોળમાં રહેતા હતા અને પંદર રૂપિયાનું ભાડું. તે દહાડે લોકો સાત રૂપિયાના ભાડામાં પડી રહે. આમ મોટા કંટ્રાક્ટર કહેવાય. હવે ત્યાં મામાની પોળમાં પેલા બંગલામાં રહેવાવાળા આવે મોટરો લઈને. કારણ કે ઉપાધિમાં સપડાયેલા હોય, તે અહીંયાં આવે. તે ઊંધું-છતું કરીને આવ્યા હોય ને, તો ય એમને ‘પાછલે બારણે’ રહીને કાઢી મેલું. ‘પાછલું બારણું’ દેખાડું કે અહીં રહીને નીકળી જાવ. હવે ગુનો એણે કર્યો અને ‘પાછલે બારણે’ છોડાવી આપું હું. એટલે ગુનો મારા માથે લીધો. શેના સારુ ? પેલું માન ખાવા સારુ ! ‘પાછલે બારણે’ કાઢી મેલવું એ ગુનો નથી ? આમ અક્કલથી દેખાડ્યું હતું પાછું, તે પેલા બચી જાય. એટલે પેલા અમને માનથી રાખે, પણ ગુનો અમને ચોંટે. પછી સમજાયું કે બેભાનપણામાં આ બધા ગુના થાય, માન ખાવા માટે. પછી માન પકડાયું. જો ચિંતા થાય માનની !

પ્રશ્નકર્તા : આપે માન પકડ્યું, પછી માનને કઈ રીતે માર્યું ?

દાદાશ્રી : માન મરે નહીં. માનને આ આમ ઉપશમ કર્યું. બાકી, માન મરે નહીં. કારણ કે મારનારો પોતે, કોને મારે ? પોતે પોતાને મારે કેવી રીતે ? તમને સમજણ પડી ને ? એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દહાડા કાઢેલા.

એ અહંકાર કૈડતો દિન-રાત

અમારે બુદ્ધિ જરાક વધારે પડતી ^કૂદાકૂદ કરે અને અહંકારેય બહુ કૂદાકૂદ કરે. મારા મોટાભાઈ એટલા બધા અહંકારી હતા, આમ માણસે ય એવા હતા કે પર્સનાલિટીવાળા. એમને દેખતાં જ સો માણસ તો આઘુંપાછું થઈ જાય. ખાલી આમ આંખની પર્સનાલિટી જ એવી ! આંખ, મોઢાની પર્સનાલિટી એવી !! હું જોઈને જ કહું, ‘મને તો એમની બીક લાગ્યા કરે !’ છતાંય એ મને શું કહે ! ‘તારા જેવો અહંકારી મેં જોયો નથી ! અરે હું તો તમારાથી ભડકું છું. તો ય ખાનગીમાં કહે, તારા જેવો અહંકાર મેં જોયો નથી ! અને ખરેખર એ અહંકાર પછી મને દેખાયો. એ અહંકાર મને કૈડતો હતો ત્યારે મને ખબર પડી કે આ તો મોટાભાઈ કહેતા હતા, તે આ અહંકાર જ છે બધો ! ‘મારે બીજું કશું જોઈતું નથી’, એટલે લોભ નામેય નહીં એવો અહંકાર ! એક વાળ પૂરતોય લોભ નહીં. એટલે હવે એ માન કેવું હોય ? જો માન ને લોભની વહેંચણી થઈ ગયેલી હોય તો માન જરા ડાઉન જ થયેલું હોય....

મનમાં માનેલું માન

એટલે મનમાં એમ જ જાણે કે હું જ છું, આ દુનિયામાં કોઈ છે જ નહીં. જો, પોતાની જાતને શું માની બેઠેલા ! મિલકતમાં કશું નહીં. દસ વીઘા જમીન અને એક ઘર, એ સિવાય બીજું કશું નહીં. અને ચરોતરનો રાજા હોય એવો મનમાં રોફ રહે. કારણ કે આજુબાજુના છ ગામવાળા લોકોએ અમને ચગાવેલા. પૈઠણિયા વર, માગો એટલી પૈઠણ આપે ત્યારે આ વર ત્યાં પૈણવા જાય. એની આ મગજમાં તુમાખીઓ ભરાઈ ગયેલી. અને કંઈ પૂર્વભવનું લાવેલો, તેથી આ ખુમારીઓ બધી હતી.

તેમાંય મારા મોટાભાઈ જબરજસ્ત ખુમારીવાળા હતા. મારા મોટાભાઈને હું ‘માની’ કહેતો હતો, ત્યારે એ મને માની કહેતા હતા. તોય એક દહાડો મને શું કહે છે ? ‘‘તારા જેવો ‘માની’ મેં જોયો નથી.’’ મેં કહ્યું, ‘શેમાં મારું માન જુઓ છો ?’ ત્યારે કહે, ‘દરેક બાબતમાં તારું માન હોય છે.’

અને તે પછી મેં તપાસ કરી, તો બધી બાબતમાં માન નીકળ્યું મારું અને તે જ કૈડતું હતું. અને માનને માટે શું કર્યું ? જે કોઈ હોય, તે કહે કે ‘અંબાલાલભાઈ, અંબાલાલભાઈ !’ હવે ‘અંબાલાલ’ તો કોઈ કહે જ નહીં ને ! છ અક્ષરથી બોલે. અને પછી ટેવ પડી ગઈ, ‘હેબિચ્યુએટેડ’ થઈ ગયા તેમાં. હવે માન બહુ ભારે એટલે માનનું રક્ષણ કરે ને ! તે પછી ‘અંબાલાલભાઈ’ના છ અક્ષર ના બોલાય અને કો’ક ઉતાવળમાં ‘અંબાલાલ’ બોલી ઊઠે, એ કંઈ ગુનો છે એનો ? છ અક્ષર સામટા એકદમ ઉતાવળમાં તો શી રીતે બોલાય તે ?

પ્રશ્નકર્તા : પણ તમે એવી આશા રાખો ને ?

દાદાશ્રી : અરે, હું પછી તોલ કરું કે ‘‘આ મને ‘અંબાલાલ’ કહ્યું પાછું ? શું સમજે છે ? શું ‘અંબાલાલભાઈ’ ના બોલાય એનાથી ?’’ ગામમાં દસ-બાર વીઘાં હોય ને બીજો કશો રોફ નહીં તો ય મનમાં શું માની બેઠા ? અમે છ ગામના અમીન, વાંકડાવાળા ! અહીં તમારે ત્યાં દેસાઈ વાંકડાવાળા હોય છે ને ? તે એય ઠેંસીવાળા હોય.

હવે સામાએ ‘અંબાલાલભાઈ’ ના કહ્યું હોય તો મને આખી રાત ઊંઘ ના આવે, અકળામણ થાય. લે !! એમાં શું મળી જવાનું ? આમાં મોઢું કંઈ મીઠું થઈ જવાનું ? કેવો સ્વાર્થ માણસને હોય છે ! એ સ્વાર્થ, તે એમાં કશોય સ્વાદ ના હોય. છતાંય માની બેઠેલો છે, તે ય લોકસંજ્ઞાથી. લોકોએ એમાં મોટા બનાવ્યા ને લોકોએ મોટા માન્યા ય ખરા ! અરે, આ લોકોના માનેલાનું શું કરવાનું તે ?

આ ગાયો-ભેંસો આપણા સામું બધી જોઈ રહે, બધી ગાયો આપણા સામું જોઈ રહે અને પછી કાન હલાવતી હોય તો આપણે એમ સમજી જવાનું કે આપણને માન આપે છે આ ? એવું છે આ તો બધું. આપણા મનમાં માનીએ કે આ લોકો બધા માનથી જોઈ રહ્યા છે, મનમાં માનીએ ! એ તો સહુ સહુનાં દુઃખમાં છે બિચારાં, સહુ સહુની ચિંતામાં છે. એ તમારા સારુ કંઈ પડી રહ્યા છે ? નવરા છે ? સહુ સહુની ચિંતામાં ફર્યા કરે છે !

ગમતો અહંકાર દુઃખદાયી બન્યો

ત્યારે આજુબાજુવાળા લોક શું કહે ? બહુ સુખી માણસ ! કંટ્રાક્ટનો ધંધો, પૈસા આવે-જાય. લોકો પર પ્રેમ. લોકોએ પણ પ્રેમદ્રષ્ટિ કબૂલ કરી કે ભગવાન જેવા માણસ, બહુ સુખી માણસ ! લોક કહે કે સુખી માણસ ને હું ચિંતા પાર વગરની કરતો હતો. ને પછી એક દહાડો ચિંતા મટતી નહોતી, ઊંઘ જ નહોતી આવતી. પછી બેઠો અને ચિંતાનું પડીકું વાળ્યું. આમ વાળ્યું, તેમ વાળ્યું ને ઉપર વિધિ કરી. મંત્રોથી વિધિ કરી અને પછી બે ઓશીકા વચ્ચે મૂકીને સૂઈ ગયો, તે ઊંઘ ખરેખરી આવી ગઈ. અને પછી સવારમાં પડીકાને વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યો. પછી ચિંતા ઓછી થઈ ગઈ. પણ જ્યારે ‘જ્ઞાન’ થયું ત્યારે બધું આખું જગત જોયું-જાણ્યું.

પ્રશ્નકર્તા : પણ ‘જ્ઞાન’ પહેલાં એનીય જાગૃતિ તો હતી ને, કે આ અહંકાર છે એમ ?

દાદાશ્રી : હા, એ જાગૃતિ તો હતી. અહંકાર છે તેય ખબર પડતી હતી, પણ એ ગમતો હતો. પછી બહુ કૈડ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણો મિત્ર ન્હોય, આ તો આપણો દુશ્મન છે, મજા નથી એ કશામાં.

પ્રશ્નકર્તા : એ અહંકાર દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો ?

દાદાશ્રી : રાતે ઊંઘ ના આવવા દે ને, એટલે સમજી ગયો કે આ તો કઈ જાતનો અહંકાર ! એટલે તો એક રાતે આમ પડીકું વાળીને સવારે વિશ્વામિત્રી જઈને પધરાવી આવ્યો. શું થાય પણ ?

પ્રશ્નકર્તા : એટલે પડીકામાં શું મૂક્યું ?

દાદાશ્રી : આ બધો અહંકાર ! મેલ પૂળો અહીંથી આ. શેના સારુ તે ? વગર કામના, નહીં લેવા, નહીં દેવા ! લોક કહે ‘પાર વગરના સુખિયા છે’ અને મારે તો અહીં સુખનો છાંટો ના દેખાતો હોય, મહીં અહંકારની ચિંતા-ઉપાધિઓ થયા કરે ને !

એ અહંકાર છોડ્યો ક્યારે ?

પ્રશ્નકર્તા : આ અહંકાર છોડી દેવાનું મન ક્યારથી થયું ? એ ગાંડો અહંકાર તમે ક્યારથી છોડી દીધો ?

દાદાશ્રી : એ છોડ્યો છૂટે નહીં. અહંકાર છૂટતો હશે ? એ તો આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થઈ ગયું, તે એની મેળે છૂટી ગયું. બાકી છોડ્યો છૂટે નહીં. છોડનાર કોણ ? અહંકારના રાજમાં છોડનાર કોણ ? આખો રાજા જ અહંકાર, એને છોડે કોણ ?

તે દિનથી ‘હું’ જુદા જ સ્વરૂપમાં

પ્રશ્નકર્તા : આપને જે જ્ઞાન લાધ્યું એ પ્રસંગનું આપ જરા વર્ણન કરોને ! એ વખતે આપને કેવી લાગણીઓ હતી ?

દાદાશ્રી : લાગણીઓનો કોઈપણ જાતનો ચેન્જ હતો નહીં મારામાં. હું તો સોનગઢ-વ્યારા કરીને છે, આ બાજુ તાપ્તિ રેલ્વે લાઈને, ત્યાં મારો બિઝનેસ હતો. તે ત્યાં આગળ હું ગયેલો. ત્યાંથી આવતી વખતે સુરત સ્ટેશને આવ્યો હતો. હવે મારી જોડે એક ભઈ કાયમ રહેતા. તે ત્યારે હું વહેલું જમી લેતો હતો, સૂર્યનારાયણ અસ્ત થયા પહેલાં. એટલે ટ્રેનમાં મેં જમી લીધું હતું અને અહીં આગળ સુરત સ્ટેશને છ વાગે ઉતર્યા. તે પેલા ભાઈ, જમેલાં વાસણ હતાં તે ધોવા લઈ ગયા અને હું બાંકડા પર એકલો બેસી રહ્યો. મને તે ઘડીએ આ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે વર્લ્ડ શું છે ને કેવી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ને આ બધું કેવી રીતે ચાલે છે ? એનો બધો હિસાબ જોઈ લીધો. એટલે તે દિવસે મારો ઈગોઈઝમ ને બધું ખલાસ થઈ ગયું. પછી હું જુદા જ સ્વરૂપમાં રહેવા માંડ્યો, વિધાઉટ ઈગોઈઝમ ને વિધાઉટ મમતા ! પટેલ તે રીતે જ હતા, પણ ‘હું’ જુદું સ્વરૂપ થઈ ગયેલો !! પછી નિરંતર સમાધિ સિવાય મેં જોયું નથી, એક સેકન્ડ પણ !

સુરત સ્ટેશને શું દેખાયું ?

પ્રશ્નકર્તા : દાદા, તમને જ્ઞાન થયું સુરતના સ્ટેશને, કેવો અનુભવ થયો હતો ?

દાદાશ્રી : બ્રહ્માંડ દેખાયું બધું આ ! આ જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? બધું દેખાયું. ઈશ્વર શું છે ? હું કોણ છું ? આ કોણ છે ? આ બધું શેના આધારે ભેગું થાય છે ? એ બધું દેખાયું. પછી સમજમાં આવી ગયું અને પરમાનંદ થયો. પછી ફોડ પડી ગયોને બધો ! શાસ્ત્રોમાં પૂ^રું લખેલું ના હોય. શાસ્ત્રોમાં તો વર્ણન જ્યાં સુધી શબ્દ હોય ત્યાં સુધી લખેલું હોય અને શબ્દની આગળ તો, જગત બહુ આગળ છે.

ભીડમાં એકાંત ને પ્રગટ્યા ભગવાન

પ્રશ્નકર્તા : સુરતના સ્ટેશને જે અનુભૂતિ થઈ, જે એકદમ ડિરેક્ટ પ્રકાશ આવ્યો, એ એની મેળે ઓચિંતો જ ?

દાદાશ્રી : હા, ઓચિંતો જ, એની મેળે જ ઊભો થઈ ગયો. સુરતના સ્ટેશને એક બાંકડા પર બેઠા હતાને, ભીડ એટલી બધી હતી, પણ આ ઓચિંતું જ ઊભું થઈ ગયું.

પ્રશ્નકર્તા : ત્યાર પછી ?

દાદાશ્રી : પછી બધું પૂ^રું જ દેખાયું, ત્યાર પછી બધો ફેરફાર જ થઈ ગયો.

પ્રશ્નકર્તા : પણ એ વખતે દુનિયાના બધા માણસો તો એના એ જ હોય ને ?

દાદાશ્રી : હા, પણ પછી તો માણસોનાં પેકિંગ દેખાવા માંડ્યાં ને પેકિંગની મહીં માલ છે તે પણ દેખાવા માંડ્યો. વેરાઈટિઝ ઓફ પેકિંગ અને માલ એક જ પ્રકારનો ! એટલે તરત જ બધું જગત જ જુદું દેખાયું ત્યાં !

પ્રશ્નકર્તા : જ્ઞાન થયા પછી વ્યવહારનું કામ થતું હતું ?

દાદાશ્રી : સુંદર થતું હતું. પહેલા તો અહંકાર વ્યવહારને બગાડતો હતો.

પ્રશ્નકર્તા : પદમાં જે ‘ભીડનું એકાંત ને કોલાહલમાં શુક્લધ્યાન’ લખ્યું છે, એનું થોડું વિવરણ કહ્યું હોય તો ?

દાદાશ્રી : ‘ભીડનું એકાંત’ એ શું કહે છે કે એકાંતમાં એકાંત રહી શકે નહીં માણસને, કારણ કે મન છે ને ? એટલે ભીડ હોય ત્યારે એકાંત ! પછી ‘કોલાહલમાં શુક્લધ્યાન’ ઉત્પન્ન થયું. આજુબાજુ ઓહોહો ! કોલાહલ, ભીડ બધું ચાલ્યા કરે અને હું મારા શુક્લધ્યાનમાં હતો. એટલે બધું જગત આખુંય મને જ્ઞાનમાં દેખાયું, જેમ છે તેમ દેખાયું !

પ્રશ્નકર્તા : એ જાતની અવસ્થા કેટલો વખત ટકી ?

દાદાશ્રી : એક જ કલાક ! એક કલાકમાં તો બધું એક્ઝેક્ટ જ આવી ગયું. પછી છે તે બધો જ ફેરફાર થયેલો દેખાયો. અહંકાર તો મૂળમાંથી જતો રહ્યો. ક્રોધ-માન-માયા-લોભ, નબળાઈ બધી જ જતી રહી. મેં આવી તો આશાય નહીં રાખેલી.

લોક મને પૂછે છે કે, ‘તમને આ જ્ઞાન કેવી રીતે થયું ?’ મેં કહ્યું, ‘તમે નકલ કરવા માગશો તો આ નકલ થાય એવી નથી. ધીસ ઈઝ બટ નેચરલ. જો નકલ કરવા જેવી હોત તો હું કહેત કે ભઈ, હું આ રસ્તે ગયો, આમ ગયો, આમ ગયો, તે મને આ પ્રાપ્ત થયું અને જે રસ્તે હું ગયો હતોને, તે રસ્તે તો આવું મોટું ઈનામ મળે એવું તો હતું જ નહીં. હું તો કંઈ સાધારણ ફાઈવ પરસેન્ટની આશા રાખતો હતો. એ ફાઈવ પરસેન્ટ નહીં, એનાય વન પરસેન્ટની આશા રાખતો હતો કે આપણી મહેનત બળ આપે તો આમાંથી આપણને એકાદ પરસેન્ટ મળી જાય.’

તારીખની પણ તમન્ના નહીં

પ્રશ્નકર્તા : દાદા, આપને જ્ઞાન થયું એ કઈ તારીખ હતી ?

દાદાશ્રી : એ સાલ તો અઠ્ઠાવનની હતી. પણ તારીખની, આપણને શું ખબર કે આની નોંધ કરવાની જરૂર પડશે ! અને કોઈ નોંધ માંગશે એવીય ખબર નહીં ને ! મેં તો જાણ્યું કે આપણો હવે ઉકેલ આવી ગયો !

પ્રશ્નકર્તા : એનો ઉપયોગ મૂકીને શોધવું તો પડશે !

દાદાશ્રી : ના, ના, એ તો એની મેળે તારીખ જડવાની હશે તો જડશે ! આપણે ક્યાં ભાંજગડ કરીએ અત્યારે ?!

પ્રશ્નકર્તા : એ ચોમાસું હતું ?

દાદાશ્રી : ના, એ ચોમાસા ને ઉનાળા એ બેની વચ્ચેની સીઝન હતી.

પ્રશ્નકર્તા : જુલાઈનો મહિનો હતો ?

દાદાશ્રી : એ જુલાઈ નહીં, જૂન હતો. આપણને તો એવી પડેલીય નથી. આપણે તો જે અજવાળું પડ્યું તે પડેલી !

પ્રશ્નકર્તા : લોક પાછળથી પડાપડી કરશે ને ?

દાદાશ્રી : પડાપડી કરશે ત્યારે નીકળશે ય ખરુંને ! જરૂર પડશે ત્યારે નીકળશે !

આમ કરજો પ્રતિક્રમણ

અરે, તે વખતે અજ્ઞાન દશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, ફલાણાં તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર.... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ.એમ.પટેલ’ને કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધા હવે સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધા ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુના કુટુંબીઓ, મામો, કાકો, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય, બળ્યા ! તે બધાના ધોઈ નાખ્યા.

પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું, સામે જઈને નહીં ?

દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધાં મને દેખાય છે. હવે તો તે બધાં ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે ચંદુભાઈ, મન- વચન-કાયાનો યોગ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! ચંદુભાઈના શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું’ એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.

આ જ્ઞાન પ્રગટ્યા પછી...

આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંજોગો ભેગા થયા અને તે સુરતના સ્ટેશને કાળ મળી ગયો. એ કાળે આ જ્ઞાન પ્રગટ થઈ ગયું, કે શાના આધારે જગત ચાલે છે, કઈ રીતે ચાલે છે બધું, આખું વિજ્ઞાન જોવામાં આવ્યું, આંખથી નહીં, અંદરની આંખથી. બસ ત્યારથી અહંકાર બધોય જતો રહ્યો ! હું દેહ છું ને બધુંય ઊડી ગયું !! સંપૂર્ણ જ્ઞાનદશા ત્યારથી જ !!!

હવે જ્ઞાનદશામાં રહેતો હતો, ત્યાં વડોદરામાં ! બીજું બધું ફ્રેન્ડસર્કલ બધું આવ-જા કરે, મૂળ પેલું કર્મ તો ખરું જ ને ! લોકોને પૂછવાનું કે તમારે શું થયું, શું નહીં એ બધું ખરું જ પાછું. પણ એમાં જે મમતા હતી એ તૂટી ગઈ. પહેલાં માન પોષાય એટલા માટે હું બોલતો હતો. કારણ કે કોઈનું કંઈ કામ મેં મફત નથી કર્યું. એના બદલામાં મારું માન પોષાયેલું છે, એટલું જ ! એટલે એના બદલા વગર તો કોઈ કાર્ય થતું જ નથી. હવે, એ માન પોષાયા સિવાય કાર્ય થવા માંડ્યું.

જ્ઞાન થયા પછી ચાર વર્ષ થયાં. ત્યાં સુધી તો કોઈનેય ખબર પડી નહીં કે આમને કંઈ પ્રાપ્ત થયું છે. પછી બધું ટોળું જામતું ગયું.

[4] ભાગીદારીમાં ધંધો કરતાં...

નોકરી જેટલું જ ઘરખર્ચ માટે

અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી. તે આજે છાસઠ વરસ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા દીધી નથી ને ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય, પણ આ પટેલ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું કે ‘પેલી રકમ હતી તે ભરી દો.’ ક્યારે કયો ‘એટેક’ થાય તેનું કશું ઠેકાણું નહીં અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ઈન્કમટેક્ષવાળાનો ‘એટેક’ આવ્યો, તે આપણે અહીં પેલો ‘એટેક’ આવે ! બધે ‘એટેક’ પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.

લક્ષ્મીની ભીડ નહીં, ભરાવો નહીં

મારે કોઈ દહાડો (લક્ષ્મીની) ભીડ પડી નથી ને ભરાવોય થયો નથી. લાખ આવતાં પહેલાં તો કોઈને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડોય અને ભીડ પણ પડી નથી, બાકી કશું દબાવ્યું કર્યું નથી. કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાવાય ને ? એવું અવળું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું !

ઉઘરાણી કરીએ તો ઉપાધિ આવે ને ?

પછી એ જે મિત્ર સર્કલમાં વાતોચીતો કરી, મઝા કરી, પછી રૂપિયાની આલમેલ થઈ. તે રૂપિયા આપ્યા પછી કોઈ ઘેર રૂપિયા પાછા આપવા આવ્યું નહીં, એ બેતાળીસની સાલમાં. પહેલાં તો કોઈને આપીએ પછી કોઈ બસ્સો-પાંચસો ના આપે તો ઠીક છે. પણ આ તે બધા ભાઈબંધોને મારી પાસે હતું તે મેં હેલ્પ કરી, તે કોઈ પણ આપવા આવ્યા નહીં. એટલે મહીંથી અવાજ નીકળ્યો કે, ‘આ સારું થયું છે. જો રૂપિયા પાછા ઉઘરાણી કરશો તો ફરી પાછા લેવા આવશે.’ ઉઘરાણી કરીએ એટલે કકડે કકડે કરીને પાંચ હજાર આપે ખરા, પણ પાછો દશ હજાર લેવા આવે. એટલે લેવા આવવા બંધ કરવા હોય તો આ રસ્તો સરસ છે ! આપણે અહીંથી જ બંધ કરી દો, તાળાં મારી દો. ઉઘરાણી કરીએ તો આવેને ફરી ! અને એ લોકોએ શું જાણ્યું કે, ‘ઉઘરાણી નથી કરતા, હેંડોને ફાવ્યા આપણે !’ એટલે પછી એ લોકોએ મોઢું દેખાડવાનું જ બંધ કરી દીધું. અને મારે એ જોઈતું હતુંને ! એટલે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.’ એટલે આ કળા જડી તે ઘડીએ !

અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ, તને છૂટ છે.’ આ પૈસા જતા કરીનેય જો વેર ભંગાતું હોય તો ભાંગો.

ધીરેલા, તેને જ ચૂકવ્યા ! કેવી ફસામણ ?!

એવું છે ને, કે આપણે કો’કના લીધા હોય, દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો’કના પાછાં ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે, ઈચ્છાઓ થયા કરે કે ‘એ ક્યારે આપશે, ક્યારે આપશે ?’ તો આનો ક્યારે પાર આવે ?

અમારેય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા કરતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરા. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા, આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય કે ચિઠ્ઠીમાંય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ-દોઢ વર્ષ થયું હશે. મનેય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, ‘જો તમારે હવે છૂટ થઈ હોય તો મારા પાંચસો રૂપિયા લીધેલા તે મોકલી આપજો.’ ત્યારે એ કહે છે કે, ‘શેના પાંચસો ?’ મેં કહ્યું કે, ‘તમે મારી પાસેથી લઈ ગયા હતા ને તે.’ ત્યારે એ કહે કે, ‘તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?’ ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, ‘હા, મને યાદ કરવા દો.’ થોડીવાર આમતેમ વિચાર કરીને મેં કહ્યું કે, ‘હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.’ પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં આવીને ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આવા બનેલા દાખલાઓ છે !

એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને રૂપિયા આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરીએ બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડે એને ચા-પાણી પાવા કે, ‘ભાઈ, તમારો ઋણ માનવો પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા, નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.’ એ કહે કે, ‘વ્યાજ નહીં મળે.’ તો કહીએ, ‘મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !’ સમજાય છે ? આવું જગત છે ! લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ સુખી ? અને છે ‘વ્યવસ્થિત’ ! નથી આપતો તેય ‘વ્યવસ્થિત’ છે અને મેં ડબલ આપ્યા તેય ‘વ્યવસ્થિત’ છે.

પ્રશ્નકર્તા : આપે બીજા પાંચસો રૂપિયા પાછા કેમ આપ્યા ?

દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા.

છેતરાયા, પણ કષાય ન થવા માટે

અમારા ભાગીદારે એક ફેરો મને કહ્યું કે, ‘તમારા ભોળપણનો લોકો લાભ ઉઠાવી જાય છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘તમે મને ભોળા કહો છો, માટે તમે જ ભોળા છો, હું સમજીને છેતરાઉં છું’. ત્યારે એમણે કહ્યું કે, ‘હવે હું આવું ફરી નહીં બોલું.’ હું જાણું કે આ બિચારાની મતિ આવી છે, એની દાનત આવી છે, માટે એને જવા દો, લેટ ગો કરોને ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ. એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મઝા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોય ને ?

પ્રશ્નકર્તા : હોય જ નહીં.

દાદાશ્રી : નાનપણથી મારો ‘પ્રિન્સિપલ’ એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી. આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન ટોપ ઉપર પહોંચી ગયું, મોટા મોટા જજોનું બ્રેઈન કામ ના કરે એવું કામ કરતું થઈ ગયું. જજો હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા. અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય. પણ જોજે, તું આવો પ્રયોગ ના કરીશ. આપણે તો જ્ઞાન લીધું છે ને ? આ તો જ્ઞાન ના લીધું હોય ત્યારે આવો પ્રયોગ કરવાનો.

એટલે સમજીને છેતરાવાનું છે, પણ એ કોની જોડે સમજીને છેતરાવાનું ? રોજનો જ વ્યવહાર જેની જોડે હોય એની જોડે. અને બહાર પણ કોઈકની જોડે છેતરાવાનું, પણ સમજીને. પેલો જાણે કે મેં આમને છેતર્યા અને આપણે જાણીએ કે એ મૂરખ બન્યો.

ધંધામાંય, ઓપન ટુ સ્કાય

તે મને મારા ધંધાની વાત કરવાની નવરાશ જ ના હોયને ! મારે ધંધામાં શું કરવાનું છે તે ?

ધંધામાં તો જેવું હોય એવું હું કહી દેતો. ત્યારે એક જણ મને કહે છે કે, ‘આવું શું કરવા કહી દો છો ?’ ત્યારે મેં કહ્યું કે, ‘જેને રૂપિયા લોકોની પાસે લોન તરીકે લેવા હોય તે છૂપું રાખે. અમારે કંઈ લોન તરીકે લેવા નથી. અને એને આપવા હોય તો એ ઉઘાડામાં આપે. અમારું તો ઓપન ટુ સ્કાય જેવું. એટલે હું કહી દઉં કે, આ સાલ વીસ હજારની ખોટ આવી છે ? એ હું ઓપન જ કરી નાખું. ભાંજગડ જ નહીંને !

હિસાબ જડશ્ો ને ચિંતા ટળી ગઈ

જ્ઞાન થયાં પહેલાં અમારે ધંધા ઉપર એક ફેરો એવું થયું કે એક સાહેબે દસ હજાર રૂપિયાનું એકદમ અણધાર્યું નુકસાન કર્યું, કામ એક અમારું સાહેબે અણધાર્યું નાપાસ કરી દીધું. એ વખતમાં દસ હજારની કિંમત તો બહુ અને અત્યારે તો દસ હજારની કંઈ કિંમત જ નહીં ને ! મને તે દહાડે મહીં ઠેઠ સુધી અસર પહોંચી હતી, ચિંતા થાય ત્યાં સુધી પહોંચ્યું હતું. એટલે તરત જ એની સામે મને મહીંથી જવાબ મળ્યો કે, ‘આ ધંધામાં આપણી પોતાની પાર્ટનરશીપ કેટલી ?’ તે દહાડે અમે બે જણા પાર્ટનર હતા, પણ પછી મેં હિસાબ કાઢ્યો કે બે જણા પાર્ટનર તો કાગળ ઉપર છીએ, પણ ખરી રીતે તો કેટલા છે ? ખરી રીતે તો છોકરાંઓ, છોકરીઓ, એમનાં વાઇફ અને મારે ઘેરથી, આ બધાંય પાર્ટનર જ ને ! ત્યારે મને થયું કે આ બધામાંથી કોઈ ચિંતા કરતું નથી, હું એકલો જ ક્યાં આ માથે ઓઢવા બેસું ? એ દહાડે આ વિચારે મને બચાવેલો. વાત તો ખરીને ?

... ખોટની અપેક્ષા તો ?

તે અમેય આખી જિંદગી કંટ્રાક્ટ કરેલો છે અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ, ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે ને આપણો ખોરાક-ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !!

જો રીત જ ગાંડી છે ને ! જીવન જીવવાની રીત ગાંડી છે ને ? અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકુય સુખિયો નહીં. પછી ખોટ જ નહિ આવવાની જિંદગીમાંય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?

મતભેદ ટાળવા, મુશ્કેલીઓ વેઠી

ભાગીદાર જોડે અમે પિસ્તાળીસ વર્ષ ભાગીદારી કરી, પણ એક મતભેદ નથી પડ્યો. ત્યારે કેટલી મહીં મુશ્કેલી વેઠતા હઈશું ? અંદરની મુશ્કેલી તો ખરી કે નહીં ? કારણ કે આ દુનિયામાં મતભેદ એટલે શું કે મુશ્કેલીનો સામનો કરવો.

પરિણામે, ભાગીદારે ભાળ્યા ભગવાન

એટલે જ્ઞાન થતાં પહેલાંય અમે મતભેદ નહીં પડવા દીધેલો. માકણ જોડેય મતભેદ નહીં. માકણેય બિચારા સમજી ગયેલા કે આ મતભેદ વગરના માણસ છે, આપણે આપણો ક્વોટા લઈને ચાલતા થવાનું.

પ્રશ્નકર્તા : પણ તમે જે આપી દેતા હતા, એ પૂર્વનું સેટલમેન્ટ થતું હશે કે નહીં થતું હોય, એની શી ખાતરી ?

દાદાશ્રી : સેટલમેન્ટ જ ! એ કંઈ નવું નથી આ ! પણ સેટલમેન્ટનો સવાલ નથી. અત્યારે નવો ભાવ ના બગાડવો જોઈએને ! પેલું તો સેટલમેન્ટ છે, ઈફેક્ટ છે. પણ અત્યારે નવો ભાવ ન બગડે. નવો ભાવ અમારો મજબૂત થાય કે આ કરેક્ટ જ છે. કંઈ ગમ્યું તમને કે થોડો કંટાળો આવ્યો ?

પ્રશ્નકર્તા : પણ ક્લેશમાંથી મુક્તિ રહે.

દાદાશ્રી : હા, સહન કરવામાં ક્લેશમાંથી મુક્તિ રહે અને ક્લેશમાંથી મુક્તિ એકલી નહીં, સામો માણસ, ભાગીદાર અને એમનું કુટુંબ આખુંય ઉર્ધ્વગતિએ જાય. અમારું આવું જોઈને એમનું મન પણ મોટું થઈ જાય. સંકુચિત મન મોટાં થઈ જાય. ભાગીદારેય રાત-દહાડો જોડે રહ્યા તોય છેવટે એમ જ કહેતા હતા કે ‘દાદા ભગવાન આવો. તમે તો ભગવાન જ છો.’ જો ભાગીદારને મારી ઉપર પ્રેમ ઉત્પન્ન થયો ને ! જોડે રહ્યા, મતભેદ ના પડ્યો ને પ્રેમ ઉત્પન્ન થયો ! ત્યારે કેટલું બધું કામ કાઢી જાય એ ?

મારે પોતાને માટે મેં કશું નથી કર્યું. એ ધંધો તો એની મેળે ચાલતો’તો. અમારા ભાગીદાર એટલું કહેતા હતા કે, ‘તમે જે આ કરો છો એ કરો, આત્માનું અને બે-ત્રણ મહિને તમે એક ફેરો કામ દેખાડી જજો કે આમ છે. બસ, એટલું જ કામ લેતા હતા, મારી પાસે.

પ્રશ્નકર્તા : પણ તો એનીય ગણતરી તો હોય ને ભાગીદારની ? કંઈક મેળવવાની ? ભાગીદાર બનાવે તો પોતાને લાભ થતો હોય તો જ ભાગીદાર બનાવે ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : તો એને એ વખતે કયો લાભ થયો ?

દાદાશ્રી : એને તો સાંસારિક, પૈસા બાબતમાં બધો લાભ થાય ને ! એ તો છોકરાઓને કહેતા ગયા હતા કે આ દાદાની હાજરી એ શ્રીમંતાઈ છે. મારે પૈસા ખૂટ્યા નથી કોઈ દહાડોય.

[5] જીવનમાં નિયમો

ટેસ્ટેડ કરી પોતાની જાતને

૧૯૬૧-૬૨માં એક ફેરો મેં કહ્યું હતું કે ‘એક ધોલ મારી જાય, તેને પાંચસો રૂપિયા આપું.’ તો કોઈ ધોલ જ મારવા ના આવે. મેં કહ્યું, ‘અલ્યા, ભીડ હોય તો મારને !’ ત્યારે કહે, ‘ના, બા. મારું શું થાય ?’ કોણ મારે ! એવું કોણ કરે આવું ! એ તો મફતમાં આવે છે, તે દહાડે મોટું પુણ્ય ગણવું જોઈએ કે આ આવું મોટું ઈનામ આપ્યું. આ તો બહુ મોટું ઈનામ ! તેય પહેલાં આપણેય આપવામાં બાકી નથી રાખેલું ને, તેનું પાછું આવ્યું છે આ બધું.

હું શું કહેવા માંગું છું કે આ દુનિયાનો ક્રમ કેવો છે કે તમારે ૧૯૯૫માં જે ખમીસ મળવાનાં છે, તે આજે તમે વધારે વાપરી ખાશો તો ૧૯૯૫માં ખમીસ વગર રહી જશો, એવું હું કહેવા માંગું છું. માટે તમે એવી રીતે એને પદ્ધતિસર વાપરો. અને ઘસારો પડ્યા વગર આમ કોઈ ચીજ કાઢી ના નાખશો અને એ ચીજ કાઢી નાખો તો અમુક જગ્યાએ ઘસારો હોવો જોઈએ ને પછી કાઢી નાખો. આવો મારો કાયદો છે. તેથી હું કહું કે આટલો ઘસારો હજી નથી પડ્યો, માટે આ ચીજને કાઢી નાખશો નહીં. કારણ કે એ આટલો જ ખરાબ થયેલો છે, હજુ ચાલે એવો છે, એને ગમે ત્યારે કાઢી નાખો તો એ મીનિંગલેસ થયું ને ! એટલે આ બધી ચીજો તમે વાપરો છો એનો હિસાબ હશે કે નહીં હોય ? એ હિસાબ છે અને એ કેટલો હિસાબ છે કે એક પરમાણુનો પણ હિસાબ છે. બોલો, ત્યાં પોલંપોલ શી રીતે ચાલ્યું જશે ? એવાં ‘વ્યવસ્થિત’ના નિયમ છે, પરમાણુના હિસાબ છે. માટે કશું બગાડ કરશો નહીં.

જગતમાં પોલ ચાલે નહીં

આ અમારે પાણીનો બગાડ કરવો પડે છે. હું જ્ઞાનીપુરુષ છું, તે મને તો, જ્ઞાનીપુરુષને ત્યાગાત્યાગ ન સંભવે, તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે. અમારે આ પગે આવું થયેલું તેથી પેલા સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ, તે કેટલા બે ડાબડા પાણી જતું હશે ? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે એથી ? ના, પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય ! અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાનીપુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાનીપુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થંકરોનું રાજ છે ! તમને ગમે છે આ તીર્થંકરોની આવી વાત ?

જાગૃતિ જુદાપણાની

મને તાવ કોઈ વખત આવે, તો કોઈ પૂછે કે, ‘તમને તાવ આવ્યો છે ?’ ત્યારે હું કહું કે, ‘હા, ભઈ, એ.એમ.પટેલને તાવ આયો છે, તે હું જાણું છું.’ ‘મને તાવ આવ્યો’ એવું કહું તો મને ચોંટી જાય. જેવો કલ્પે એવો થઈ જાય તરત. એટલે હું એવું ના બોલું.

‘અમારા’ અનુભવની વાત

હું ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી ના કરું. કારણ કે બીજાં પેસેન્જરો પછી પાછળ પડે છે. મને વાંકું બોલતાં આવડતું નથી. પૉલીશ કરતાં નથી આવડતું. એ પૂછે કે આપનું સરનામું શું, તો હું કહી દઉં એટલે એ પાછો ઘેર આવે. એટલે આ તો બધી વળગાડ પાર વગરની. એના કરતાં મારા સગા ભાઈઓ જેવા બધા થર્ડ ક્લાસવાળા પેસેન્જરો સારા છે. એટલે શું જતાં-આવતાં કો’કની ઠોકરો વાગે તો મહીં શું કષાયભાવ ભરેલા છે તે ખબર પડે. કો’કની ઠોકર વાગી હોય, તે શું કચાશો બધી માલમ પડે. એટલે કચાશો બધી એમ કરીને નીકળી જાય.

પછી આ પગ દુઃખેને એટલે શું કહું, ‘અંબાલાલભાઈ, પગ તમને બહુ દુખ્યા, નહીં ? થાકી ગયા છો. કારણ કે આમ ને આમ અકડાઈને બેઠા હશોને એટલે પગ દુખ્યા છે.’ એટલે પાછો બાથરૂમમાં તેડી જઉં ને ત્યાં જઈને ખભો થાબડું, ‘હું તમારી જોડે છુંને, શું કામ ડરો છો ? અમે શુદ્ધાત્મા ભગવાન છીએ ને, તમારી જોડે.’ એટલે પાછા ફર્સ્ટ ક્લાસ થઈ જાય.

મુશ્કેલીમાં આવે ત્યારે ખભો થાબડીને કહેવું. પહેલાં એક હતા, તે હવે બે થયા. પહેલાં તો કોઈનો સહારો જ ન હતો. પોતે જ પોતાની મેળે સહારો ખોળતા રહે. એકના બે થયા. આવું કોઈ ફેરો કર્યું’તું કે નહોતું કર્યું ?

પ્રશ્નકર્તા : કર્યું છે.

દાદાશ્રી : તે ઘડીએ આપણને જુદી જાતનું લાગેને ? જાણે આખા બ્રહ્માંડના રાજા હોયને એવી રીતે આપણે બોલવાનું હોય. આ બધું મારા અનુભવની વાત તમને બધી દેખાડી દીધી.

‘હું’ ‘પટેલ’ સાથે બહુ વાતો કરતો’તો. મને મઝા આવે એવી વાતો કરવાની. અમે હઉ આવડા મોટા છોંત્તેર વર્ષના અંબાલાલભઈને એવું કહીએ ને, ‘છોંતેર વર્ષોથી કંઈ ડાહ્યા થયા છો ? એ તો ઘડતરથી ડાહ્યા થયા !’

પ્રશ્નકર્તા : તમે ક્યારથી વાતો કરતા’તા ?

દાદાશ્રી : જ્ઞાન થયા પછી. પહેલાં તો કેવી રીતે વાત કરું હું ? ‘હું જુદો છું’ એવું ભાન થયું ને પછીથી !

જે પૈણવા બેઠા’તા એય યાદ કરીને અંબાલાલને કહીએ કે, ‘ઓહોહો ! તમે તો કંઈ પૈણવા બેઠા’તા ને ! પછી માથેથી પાઘડી ખસી ગયેલી, ત્યારે પછી તમને રાંડવાનો વિચાર આવેલો.’ એવું હઉ કહું હું. દેખાય પેલું. કેવી પાઘડી ખસી ગયેલી હતી ને કેવું બધું પૈણવામાં માંહ્યરું હતું, તે દેખાય. વિચાર કરતાંની સાથે દેખાય. અમે બોલીએ અને અમને આનંદ આવે. આવી વાત કરીએ એટલે એ ખુશ થઈ જાય !

[6] પત્ની હીરાબા સાથે એડજસ્ટમેન્ટ

મતભેદ ટાળવા સાવધાની જ રાખેલી

પૈણતી વખતે કહે છે, ‘સમયે વર્તે સાવધાન.’ તે મહારાજે ખરું કહ્યું, જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર, તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? એ અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછો !

હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધુંય રિપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા. અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા.

પ્રશ્નકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો, એમાં ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : ફેર ? શેનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ ! મેડનેસ કહેવાય !! અંધારાના કેટલા ભેદ હોય ?

પ્રશ્નકર્તા : તોય આપનું જરા જુદી જાતનું હોયને ? આપનું કંઈક નવી જ જાતનું હોયને !

દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા ! અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં, પણ તોય એને અવળું પડી જાય પછી એનો ઉપાય શો ? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ?

પ્રશ્નકર્તા : અહીં દાદા પાસે જ ચાલે, બીજે ક્યાંય ચાલતા નથી.

દાદાશ્રી : એમ ? હશે ત્યારે ! આ ઓફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો દુનિયાની હેડ ઓફિસ કહેવાય. અમે બ્રહ્માંડના માલિક છીએને ! આવું સાંભળીને તો લોક ખુશ થઈ જાય કે બ્રહ્માંડના માલિક ? આવું તો કોઈ બોલ્યું જ નથી. અને વાતે ય ખરી છે ને ? જેને આ મન-વચન-કાયાનું માલિકીપણું છૂટ્યું એ આખા બ્રહ્માંડનો માલિક ગણાય.

પત્નીને પ્રોમિસ, માટે...

હીરાબાની એક આંખ ’૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું.

એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો’ વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, ‘શું છે તમારે ?’ ત્યારે એ કહે, ‘આવું તમારું થયું ?’ હવે તે દહાડે ’૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, ‘કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?’ ત્યારે એ કહે, ‘એક તો હીરાબાની આંખ ગઈ છે. બીજું પ્રજા કશું નથી.’ મેં કહ્યું, ‘પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.’ વળી તેમને મેં કહ્યું, કે ‘હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.’ એ કહે, ‘તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?’ મેં કહ્યું, ‘કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય ? મારી આંખ ગઈ ત્યારે આ થયું ને ?’ અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, ‘હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ ! કારણ કે મેં પ્રોમિસ આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું ! બીજા બધા બહુ અવતાર મળવાના છે ! લગ્નમાં ચૉરીમાં હાથ આપ્યો હતો, આપણે હાથ આપ્યો તે પ્રોમિસ કર્યું આપણે. અને આ બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે !

કેવી સમજણ ! કેવું એડજસ્ટમેન્ટ !

અમેય છે તે કઢી ખારી આવેને, તો ઓછી ખાઈએ અગર તો કોઈ ફેરો કઢી ખાધા વગર ચાલે એવું ના હોય તો ધીમે રહીને જરા પાણી કઢીમાં રેડી દઈએ. ખારી થયેલી, તે સહેજ પાણી રેડીએ એટલે તરત ખારાપણું ઓછું થઈ જાય. તે એક દહાડો હીરાબા જોઈ ગયાં, ‘આ શું કર્યું ? આ શું કર્યું ? ઢોળી દો, આ મહીં પાણી રેડ્યું ? ત્યારે મેં કહ્યું કે, આ ચૂલા ઉપર પાણી રેડીએ ત્યારે પછી થોડીવારે બે ઊભરા આવે એટલે તમે જાણો છો કે આ પાકી થઈ ગઈ ને આ અહીં જ પાણી રેડ્યું તે કાચી છે એવું તમે માનો છો ? એવું કશું નહીં આ ! પણ તે ના ખાવા દે બળ્યું, ઉપરેય પાણી જ રેડવાનું છે ને ?

આ તો મનની માન્યતાઓ છે બધી. મને આમ માન્યું માટે આમ, નહીં તો કહેશે, બગડી ગયું. પણ કશું બગડે જ નહીં ને ! એની એ જ પાંચ તત્વની જ દરેક ચીજો છે, વાયુ, જલ, તેજ, પૃથ્વી ને આકાશ ! માટે કશું બગડવા કરવાનું હોય નહીં.

નિરંતર જાગૃત યજ્ઞે, ફલિત ‘અક્રમ વિજ્ઞાન’

પ્રશ્નકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એને નથી કહેવું કે આમાં મીઠું વધારે પડ્યું છે. એ એને દુઃખ થાય માટે પાણી રેડ્યું.

દાદાશ્રી : હા, અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોયને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોકો કહે છે કે, ‘આવું કરશોને, તો ઘરમાં બધું બગડી જશે.’ મેં કહ્યું કે, ‘તમે કાલે જોજોને, તે પછી બીજે દહાડે કહે કે કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ? મેં કહ્યું કે, મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશેને ! તમે ના પીતાં હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છોને, પછી મારે કહેવાની જરૂર શી ?

પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે ક્ષણે ક્ષણે !

દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું. આ જ્ઞાન એમ ને એમ થયું નથી !

અમે આ જે કંઈ બોલીએ છીએને, તે તમે પૂછો એટલે એ જગ્યાનું દર્શન દેખાય. દર્શન એટલે જે બન્યું તે એમ દેખાય. જેવું બન્યું હતું તેવું આમ દેખાય !

મતભેદ પહેલાં જ, સાવધાની

આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય તેને લીધે સામાને પણ કલુષિત ભાવ ના થાય. આપણે ના ચિડાઇએ એટલે એય ઠંડા થાય, ભીંત જેવા થઇ જવું એટલે સંભળાય નહીં, અમારે પચાસ વરસ થયાં પણ કોઇ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તોય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં. હું કહું કે ઢોળો તોય એ ના ઢોળે. જાણી-જોઇને કોઇ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતા પહેલાં જ્ઞાન ઓન ધ મોમેન્ટ હાજર રહે.

પ્રકૃતિ ઓળખીને સમાધાનમાં વર્ત્યા

અમારે ઘેરેય કોઈ દહાડો મતભેદ નથી પડ્યો. અમે તો પાટીદારો, એટલે ખાતું જરા જાડું અમારું. એટલે આમ ઘી મૂકેને તે પાટિયું ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનું નહીં, તો શી રીતે નમાવતા હઈશું અમે ? આમ નાઈન્ટી ડિગ્રી જ ! અને આ બીજા લોકોને ત્યાં જઈએ તો ડિગ્રી-ડિગ્રીવાળું. તે આ હીરાબા ડિગ્રી-ડિગ્રીવાળા હતા. એટલે મને આ ગમે નહીં કે આ તો આપણી આબરૂ જાય છે. પણ અમે પ્રકૃતિ ઓળખી લીધેલી કે આ પ્રકૃતિ આવી છે. એટલે આપણે ઢોળીશું તોય વાંધો નહીં આવે, એ ઊહેડી લેશે ! એ પણ અમને કહેતા કે ‘તમે તો ભોળા છો, બધાને આપી દો છો.’ એમની વાતેય ખરીને ! મેં એટલા માટે કબાટની ચાવી એમને આપી દીધેલી. કારણ કે કોઈક આવેને, તે સાચો દુઃખી છે કે ખોટો દુઃખી છે એ જોયા સિવાય એ બોલે કરે એટલે તરત હું આપી દેતો હતો. મારાથી આવી ભૂલો થયા કરે અને સામાને ખોટું એન્કરેજમેન્ટ મળે, એવો હીરાબાનો અનુભવ અને એટલે પછી મેં ચાવી એમને આપી દીધી. આ તો અજ્ઞાનની દશાઓ, જ્ઞાન થયા પછી કોઈ ફેરો મતભેદ નથી થયો.

ફરી જઈનેય ટાળ્યો મતભેદ

હું તો આ તમને બધાને કહું છું ને તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે, જ્ઞાન નહોતું તોય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથડાવું. ભલે લોકોને સમજણ નથી, પણ મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે.

તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું હીરાબા કહું છું. અમે તો જ્ઞાની પુરુષ અમારે તો બધાને ‘બા’ કહેવાય અને બીજી ‘છોડીઓ’ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે.

તે મારે હઉ મતભેદ પડી ગયો. હું ફસાયો. હીરાબા મને કહે છે, મારા ભાઈને ચાર દીકરીઓ છે તેમાં પહેલી દીકરી પૈણે છે, એને ચાંદીનું શું આપીશું ? ત્યારે મેં કહ્યું, આ ઘરમાં હોય તે આપી દેજો. ત્યારે એમણે મને શું કહ્યું ? અમારે ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણું જ બોલાય. તે એ એવું બોલ્યાં, કે આ તમારા મામાના દીકરાને ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ! એટલે ‘મારી-તારી’ થઈ તે દહાડે ! તમારા મામાના દીકરા કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! એટલે તરત જ હું ફરી ગયો. ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેના કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો. મેં કહ્યું કે એવું નથી કહેવા માગતો. આમ રોકડા પાંચસો ને એક, આપજોને ! ‘‘હેંઅ ! તમે તો ભોળા ને ભોળા રહ્યા ! બહુ ભોળા ! આટલા બધા રૂપિયા અપાતા હશે ?’’ જો જીતી ગયો ને ! મેં કહ્યું ‘પાંચસો એક રોકડા આપજો ને વાસણ નાનાં આપો.’ ત્યારે એ શું કહે છે ‘તમે ભોળા છો ! આટલા બધા અપાતા હશે ?’ જો મતભેદ છૂટી ગયો ને ? પણ મતભેદ પડવા ના દીધો ને ઊલટું એમણે મને કહ્યું કે તમે તો ભોળા છો ! આ તો ‘મારા’ ભાઈને ત્યાં તમે ઓછું આપો છો એ વિચારો એમના મનમાં પેસતા હતા, તેને બદલે એમણે એમ કહ્યું કે આટલા બધા ના અપાય !

ના ચલણી નાણું, ભગવાન ચરણે

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું, જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે ‘સમભાવે નિકાલ’ કરવાનો. ઘરમાં ‘વાઇફ’ જોડે ‘ફ્રેન્ડ’ તરીકે રહેવાનું . એ તમારા ‘ફ્રેન્ડ’ ને તમે એમના ‘ફ્રેન્ડ’ ! અને અહીં કોઇ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલીટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હું ય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપોય નોંધ કરતું નથી !

અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય, ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય. ગેસ્ટને શું ? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે, ઘી બગાડી ગયું. ત્યારે ગેસ્ટ કહેશે, અરે, બહુ ખોટું થયું. એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે બહુ ખોટું થયું. નહીં તો આપણે કહીએ કે સારું થયું તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે.

તમારા વગર ગમતું નથી

આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું, તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, ‘હું હઉ તમને સાંભરું ?’ મેં કહ્યું, ‘સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?’ અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં !

ત્યારે કેવા સાચવ્યા હશે ?

મારે અમારા ઘરમાં વાઈફ જો પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો’ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુઃખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.

એક જણે મને પૂછયું કે, ‘‘અત્યારે તમારે વાઈફ જોડે તમારો વ્યવહાર કેવો છે ? લ્યો-લાવો કહો છો ?’ મેં કહ્યું, ‘ના. હીરાબા કહું છું. એ આવડા છોતેર વર્ષનાં ને હું અઠ્ઠયોતેર વર્ષનો તો લ્યો-લાવો કહેવાતું હશે ? હું ‘હીરાબા’ કહું છું.’’ પછી એ મને કહે છે, ‘તમારા તરફ પૂજ્યભાવ ખરો કે ?’ મેં કહ્યું, ‘હું જ્યારે જઉં છુંને વડોદરા, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાનાં. અહીં ચરણે કપાળ અડાડીને વિધિ કરવાનાં. તે રોજેય વિધિ કરવાનાં. આ બધાએ જોયેલું હોય, તો અમે કેવાં સાચવ્યાં હશે કે એ વિધિ કરે ?’ કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવાં સાચવ્યાં હશે ? એ પરથી તમને સમજાયું બધું ?

વિષય છૂટ્યા બાદ, સંબોધ્યાં ‘બા’ !!!

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે, (35 વર્ષની ઉંમરે અખંડ બ્રહ્મચર્યમાં આવી ગયા હતા) ત્યારથી હું ‘હીરાબા’ કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે, તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને ! એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધી અને આ કહેશે, ‘એણે મને ભોગવી લીધો.’ અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચ કચ તો ખરી જ. પણ તેય અમારે નહોતી, એવો મતભેદ નહોતો કોઈ જાતનો.

[7] જ્ઞાની દશામાં વર્ત્યા આમ

પ્રત્યેક પર્યાયમાંથી પસાર

આ તો બધી મેં પૃથક્કરણ કરેલી વસ્તુઓ છે, ને તે આ એક અવતારની નથી. એક અવતારમાં તો આટલાં બધાં પૃથક્કરણ થાય ? એંસી વર્ષમાં કેટલાંક પૃથક્કરણ થાય તે ? આ તો કેટલાય અવતારનું પૃથક્કરણ છે, તે બધું આજે હાજર થાય છે.

પ્રશ્નકર્તા : આટલા બધા અવતારોનું પૃથક્કરણ એ અત્યારે ભેગું થઈ કેવી રીતે હાજર થાય ?

દાદાશ્રી : આવરણ તૂટ્યું એટલે. મહીં જ્ઞાન તો, છે જ બધું. આવરણ તૂટવું જોઈએ ને ? સિલકમાં જ્ઞાન તો છે જ, પણ આવરણ તૂટે એટલે પ્રગટ થઈ જાય !

બધાં જ ફેઝીઝનું જ્ઞાન મેં ખોળી કાઢેલું. દરેક ‘ફેઝીઝ’માંથી હું પસાર થયેલો છું અને દરેક ‘ફેઝ’નો ‘એન્ડ’ મેં લાવી નાખેલો છે. ત્યાર પછી ‘જ્ઞાન’ થયેલું છે આ.

શુદ્ધ ઉપયોગ બોલતી વખતેય

આ અમે જે બોલીએ તે ઉપયોગપૂર્વકનું. આ રેકર્ડ બોલે, તેના પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે ને શું નહીં ? આ સ્યાદ્વાદમાં કંઈ ભૂલ છે તે અમે જોયા કરીએ બારીકાઈથી અને આ બોલે છે તે રેકર્ડ છે. લોકોનેય બોલે છે રેકર્ડ, પણ એ મનમાં એમ જાણે છે કે હું બોલ્યો. અમે નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ, તમારી જોડે વાત કરતાં કરતાં પણ.

વિધિ વિના ક્ષણ વેડફી નહીં

અમે તો વાતોમાં શું થઈ રહ્યું એ જ જોયા કરીએ. અમે એક ઘડીવારેય, એક મિનિટેય ઉપયોગની બહાર ના હોઈએ. આત્માનો ઉપયોગ હોય જ.

અમારી વિધિ કરવાની હોયને, ક્યારેક મન નવરું પડ્યું હોય એટલે એ વિધિ મહીં અંદર ચાલુ કરીએ, તે વખતે જરાક સહેજ એમ લાગે કે આ દાદા કશું કાર્યમાં હશે ! મૂડમાં નથી એવું તો ના જ જાણે કોઈ, કંઈ કાર્યમાં હશે, એટલું કાર્ય અમે ચલાવી લઈએ. અમારી વિધિ કરવાની હોયને, તે બાકી રહી ગઈ હોય. બપોરે બધા આવી પડ્યા હોયને, ન જ થઈ હોય. ત્યારે અહીં આગળ નવરાશ મળે એટલે પાછું એય કરી લઈએ પાછું. એય શુદ્ધ ઉપયોગ રૂપે જ.

દાદાનો ઉપયોગ જમતી વખતે...

અમે જમતી વખતે શું કરીએ ? જમવામાં ટાઈમ વધારે થાય, ખઈએ થોડું અને જમતી વખતે અમે કોઈની જોડે વાતચીત ના કરીએ, તોફાન કરીએ નહીં. એટલે જમવામાં એકાગ્રતા જ હોય. અમારાથી ચવાય છે એટલે અમે ચાવીને ખઈએ અને એમાં શું સ્વાદ છે એને વેદીએ નહીં, જાણીએ. એ જગતના લોક વેદે, અમે જાણીએ. કેટલા સરસ ઝીણા સ્વાદને કાઢે, તે જાણીએ કે આવો હતો. એક્ઝેક્ટ જાણવું, વેદવું અને ભોગવવું. જગતના લોકો કાં તો ભોગવે કાં તો વેદે.

અમે તો અહીં ઠંડીમાં અમને ઓઢાડવામાં આવેને તો હું જરા આમ શાલ ખસેડી નાખું. જો ઠંડો પવન લાગે તો જાગે, આમ આખી રાત જાગીએ. અને ના હોય તો ફરી ઉધરસ આવે તેનાથી જગાય. પછી ઉપયોગમાં રહીએ.

અમે કેટલાંય વર્ષથી રાત્રે તબિયત બગડી હોય, રાત્રે ગમે તે થયેલું હોય, પણ એક્ઝેક્ટ સાડા છ એટલે ઊઠી જવાનું. અમે ઊઠીએ ત્યારે સાડા છ વાગ્યા જ હોય. પણ અમે તો સૂતા જ નથી જો કે. અમારે તો અઢી કલાક તો વિધિઓ ચાલે મહીં રાત્રે. સાડા અગિયાર સુધી તો સત્સંગ ચાલે. આમ બાર વાગ્યે સૂઈ જઈએ. સૂવાનું સુખ, આ ભૌતિક સુખો અમે લઈએ નહીં.

સ્ટોર પણ નમસ્કાર કરે ‘આ વીતરાગ’ને

અમેરિકામાં અમને સ્ટોરમાં લઈ જાય. ‘હેંડો, દાદા’, કહે. તે સ્ટોર બિચારો અમને પગે લાગ લાગ કરે, કે ધન્ય છે, સહેજ પણ દ્રષ્ટિ બગાડી નથી અમારી પર ! આખા સ્ટોરમાં દ્રષ્ટિ બગાડી નથી કોઈ જગ્યાએ ! અમારી દ્રષ્ટિ બગડે જ નહીં એની પર. અમે જોઈએ ખરા, પણ દ્રષ્ટિ ના બગડે. અમારે શી જરૂર કોઈ ચીજની ? મને કોઈ વસ્તુ કામ લાગે નહીં ને ! તારે દ્રષ્ટિ બગડી જાય ને ?

પ્રશ્નકર્તા : જરૂર પડે એ વસ્તુ લેવી પડે.

દાદાશ્રી : હા, અમારી દ્રષ્ટિ બગડે નહીં. હેય, સ્ટોર અમને આમ નમસ્કાર કર્યા કરે કે આવા પુરુષને જોયા નથી ! પાછો તિરસ્કારે ય નહીં. ફર્સ્ટ ક્લાસ, રાગેય નહીં, દ્વેષેય નહીં. શું કહ્યું ? વીતરાગ ! આવ્યા વીતરાગ ભગવાન !

વીતરાગો વધુ ઉપકારી વિશ્વ કાજે

આ હું લગ્નમાં આવું તેથી લગ્ન મને ચોંટી ગયું ? આ અમે લગ્નમાં જઈએ પણ સંપૂર્ણ વીતરાગ રહેવાય. જ્યારે મોહના બજારમાં જઈએ ને ત્યારે સંપૂર્ણ વીતરાગ થઈ જવાય અને ભક્તિના બજારમાં જઈએ ત્યારે જરા વીતરાગતા ઓછી થઈ જાય.

તન્મયાકાર વિનાનો વ્યવહાર

લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે. તે વ્યવહારથી હુંય પતાવું છું ને વ્યવહારથી તમેય પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી.

જ્ઞાની વર્તે પ્રગટ આત્મરૂપે

પ્રશ્નકર્તા : આ ત્રણ દિવસથી આ એકનો એક જ વિચાર ઘોળાયા કરે છે કે તમે સવારથી સાંજ સુધી, પંચોતેર વર્ષની ઉંમરે આમ ને આમ બેઠા છો. અને મને અહીંયાં બેસતાં કેટલીય વખત આમ આમ કરવું પડે છે દોઢ કલાકમાં, તો આપની એ કઈ શક્તિ ?

દાદાશ્રી : આ શરીર જૂનું છેને, પણ બીજું અંદર બધું જ જુવાન છે. એટલે એક જ જગ્યા ઉપર બેસીને દસ કલાક હું બોલી શકું છું. આ લોકોએ એવું જોયેલું. કારણ કે આ દેહ ભલે આવો દેખાય છે, પંચોતેરની અસરવાળો, વાળ અસરવાળા છે પણ મહીં બીજું બધું યુવાન છે. એટલે કંઈક જ્યારે આ શરીર ઉપર આફત આવે છે ત્યારે લોકોને હું કહું છું કે, ‘ભડકશો નહીં, આ છૂટવાનું નથી. મહીં જુવાન છે હજુ તો !’ એટલે પેલાને સ્થિરતા આવે છે. કારણ કે અમારી સ્થિતિ અંદર જુદી છે. એક મિનિટ પણ હું થાકતો નથી. હમણે રાતના સાડા ત્રણ વાગ્યા સુધી અમારી જોડે બેસનાર જોઈએ !

બાકી આમ ફ્રેશનેસ કોઈ દહાડો ગઈ નથી. તમે જ ફ્રેશ રહેશોને, પછી તમને હઉ એવું લાગશે કે દાદાએ અમને ફ્રેશ બનાવ્યા !

પ્રશ્નકર્તા : દાદા, ઉંમર થઈ છે તોય ?

દાદાશ્રી : તોય ! ઉંમર તો આ દેહની થઈને ! આપણી ક્યાં ઉંમર થવાની છે ? અને બીજું શું કે તમને બધાને સાયકોલોજિકલ ઈફેક્ટ હોય. અમને કોઈ જાતની સાયકોલોજિકલ ઈફેક્ટ ના હોય કે ‘મને તાવ આવ્યો છે.’ એ કોઈ પૂછે તો મોઢે બોલીએ, પણ પછી ભૂંસી નાખીએ પાછું. એટલી જાગૃતિ હોય !

‘હું’ ‘મારા’માં ને ‘પટેલ’ જગત કલ્યાણની વિધિમાં

ઘણો ખરો ટાઈમ ‘હું’ ‘મૂળ સ્વરૂપ’માં રહું છું, એટલે ‘પાડોશી’ તરીકે રહું છું અને થોડોક જ ટાઈમ આમાં આવું છું. ‘મૂળ સ્વરૂપ’માં રહું એટલે પછી ફ્રેશનેસને કશું અડે જ નહીંને ! ને રાતેય કોઈ દહાડો ઊંઘ્યો નથી. પાએક કલાક જરા મટકું વાગી જાય એટલું જ, બે વખત થઈને પા કલાક, બાકી ફક્ત આંખ મીંચેલી હોય. આ કાને જરા ઓછું સંભળાય એટલે પેલા સમજી જાય કે દાદાજી ઊંઘી ગયા છે ને હુંય સમજું બરોબર છે. મારે વિધિઓ હોય બધી, તે હું મારામાં હોઉં અને એ.એમ.પટેલ વિધિમાં હોય. એટલે આ જગતનું કલ્યાણ કેમ થાય, એની વિધિ બધી કર્યા કરે. એટલે એ નિરંતર વિધિઓમાં હોય, દહાડેય હોય ને રાતેય હોય !!!

પ્રકૃતિને આમ વાળે જ્ઞાની

બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસન વાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.

જે હું પામ્યો, તે જગ પામો

હું કહું છુંને કે મારે ભઈ, સત્યાવીસ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે ટેન્શન થતું’તું ‘એ.એમ.પટેલ’ને. કંઈ મને ન’તું થતું. પણ ‘એ.એમ.પટેલ’નેય ટેન્શન થાય છે ત્યાં સુધી આપણે બોજો જ છે ને ! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છૂટ્યા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. અમારો તો હેતુ શું છે કે, ‘આ જે સુખને હું પામ્યો છું એ સુખને આખું જગત પામો.’ અને તમારે શેમાં ઉતાવળ છે એ કહો. તમને ત્યાં પહોંચવાની ઉતાવળ છે ?

દાદાઈ બ્લેન્ક ચેક

આ ‘દાદા’ એક એવું નિમિત્ત છે, જેવું કે દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે. માટે આપણે એમ ને એમ વાપરવા નહીં.

એટલે આ દાદાના તો બ્લેન્ક ચેક, કોરો ચેક કહેવાય. એ વારેઘડીએ વટાવવા જેવો નહીં. ખાસ અડચણ આવે તો સાંકળ ખેંચજો. સીગરેટનું પાકીટ પડી ગયું હોય અને આપણે ગાડીની સાંકળ ખેંચીએ તો દંડ થાય કે ના થાય ? એટલે એવો દુરુપયોગ ના કરવો.

આપાપણું સોંપી દીધું

જુઓ, હું તમને કહી દઉં. આમ કરતાં કરતાં ઘણો કાળ અમારો ગયો. તેથી તમને તો હું સહેલો રસ્તો બતાડું છું. મારે તો રસ્તા ખોળવા પડેલા. તમને તો હું જે રસ્તે ગયેલો એ રસ્તો દેખાડી દઉં છું, તાળાં ઊઘાડવાની ચાવી આપી દઉં છું.

આ ‘અંબાલાલ મૂળજીભાઈ પટેલ’ છે ને, એમણે પોતાનું આપાપણું છોડીને ભગવાનને જ સોંપી દીધું છે. તે ભગવાન એમનું બધું સંભાળી લે છે. અને એવું સંભાળે છે ને, ખરેખરું ! પણ પોતાનું આપાપણું છૂટી ગયું, અહંકાર ગયો ત્યાર પછી. બાકી, અહંકાર જાય એવો નથી.

એટલે અમને તો ત્યાં મુંબઈ કે વડોદરા કેટલાક પૂછે કે, ‘દાદા, તમે વહેલા આવ્યા હોત તો સારું.’ ત્યારે મેં કહ્યું, ‘પોટલાની પેઠ મને તેડી લાવે છે ત્યારે અહીં આવું છું ને પોટલાની પેઠ લઈ જાય છે ત્યારે જાઉં છું.’ ત્યાર પછી એ સમજી જાય. તો કહે કે, ‘આ પોટલાની પેઠ કહો છો ?’ અરે, આ પોટલું જ છે ને, ત્યારે બીજું શું છે તે ? મહીં ભગવાન છે આખા, પણ બહાર તો પોટલું જ છે ને ! એટલે પોતાપણું રહ્યું નહીં ને !!

મહાત્માઓ ભગવાન થઈને રહેશે એક દિ’

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે અમને બધાને તમે ભગવાન બનાવવા માગો છો, એ તો જ્યારે બનીએ ત્યારે ખરું. અત્યારે નથી થયાને ?

દાદાશ્રી : પણ એ થશેને ! કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ! જે બનાવનારો છે એ નિમિત્ત છે. અને બનવાની જેને ઇચ્છા છે, એ જ્યારે બે ભેગા થયા કરશે, તો એ થશે જ ! બનાવનાર ક્લિયર છે અને આપણું ક્લિયર છે, આપણી દાનત બીજી નથી. એટલે એક દહાડો બધા અંતરાય તૂટી જશે ને ભગવાન થઈને ઊભો રહેશે, જે આપણું મૂળ સ્વરૂપ જ છે !

- જય સચ્ચિદાનંદ