દાદા ભગવાન પ્રરૂપિત
આપ્તવાણી શ્રેણી - ૫
સંપાદક : ડૉ. નીરુબહેન અમીન
સમર્પણ‘‘દાદાની આપ્તવાણી કરું સમર્પણ, આંતરશત્રુઓનું બન્યું આ દર્પણ. અવિરત વેદી આધિ - વ્યાધિ - ઉપાધિ, આપ્તવાણીના શબ્દો પમાડે સમાધિ. દાદાના વિશ્વ કલ્યાણની વાટમાં, દીવડો જલાવે વાણી પ્રત્યેક ઘટમાં.’’ સંપાદકીયતત્ત્વજ્ઞાનની ગહન ગહન વાતો તો ઘણીયે વાંચવામાં ને સાંભળવામાં આવી છે. જીવનના ધ્યેયનાં શિખરોનું ઘણાં ઘણાંએ તળેટીમાં રહીને અંગુલિનિર્દેશન કર્યું છે ! વ્યવહારમાં ‘શું સત્ય, શું અસત્ય, શું ચૌર્ય, શું અચૌર્ય, શું પરિગ્રહ, શું અપરિગ્રહ કે શું હેય ને શું ઉપાદેય’નું વર્ણન એ બધું મોટા મોટા ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત થયું છે. કિંતુ અસત્ય, હિંસા, ચોરી, પરિગ્રહ કે હેયનો મૂળ આધાર શો છે એ ક્યાંય જોવા મળતું નથી. તેમાંય બાધેભારે કોઈ વિરલ જ્ઞાની કહી ગયા હશે, કિંતુ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય તો એ એક આ ‘અક્રમ વિજ્ઞાની’ પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા ‘અક્રમ વિજ્ઞાન’માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હૃદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળતી ‘ટેપ’માંનું ‘વિજ્ઞાન’ છે ! એમાં કોઈ વિવેચન નથી કે નથી લાંબું લાંબું કંટાળાજનક ભાષણ ! પ્રશ્નોના પ્રત્યુત્તરો હૃદયમર્મી હોઈ બુદ્ધિને છિન્નભિન્ન કરી આત્મદર્શનમાં ફલિત કરે છે ! આ જ મહાન સ્વાનુભવી ‘જ્ઞાનીપુરુષ’ની અપૂર્વ ખૂબી છે ! ‘જ્ઞાની પુરુષ’ વિશ્વની observatory ગણાય. હજારો લોકોના અનેક પ્રશ્નોના સચોટ પ્રત્યુત્તરો એ observatoryમાંથી સહજપણે તત્ક્ષણ નીકળે છે, પછી તે પ્રશ્નો તત્ત્વજ્ઞાનના હો, જીવનવ્યવહારના હો કે પશુપંખીની દિનચર્યાના હો ! એક મહાન તત્ત્વજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના ઉત્તરોથી આફરિન થઈ પૂછી બેઠા, ‘‘દાદા, આપ બધા જવાબો ક્યાંથી આપો છો ?!’’ ત્યારે પૂજ્ય દાદાશ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘‘હું આ વાંચેલું નથી બોલતો, આ ‘કેવળજ્ઞાન’માંથી ‘જોઈને’ બોલું છું !! વળી એક જણે તેમને પૂછયું, ‘‘દાદા, આપ આટલા બધા પ્રશ્નોના જવાબો આપો છો, છતાં ક્યારેય એકુય ભૂલ નથી નીકળતી, તેનું શું કારણ ?’’ ત્યારે પૂજ્ય દાદાશ્રી બોલ્યા, ‘‘આ ‘ટેપ’માંથી નીકળે છે તેથી. હું જો બોલવા જાઉં તો નરી ભૂલો જ નીકળે !!!’’ સંપૂર્ણ નિરહંકારનું આ તાદ્રશ્ય દર્શન છે ! કારુણ્યમૂર્તિ દાદાશ્રીનો નથી પંથ કે નથી વાડો કે નથી કોઈ સંપ્રદાય; નથી કોઈ જાતનું ખંડન કે નથી કોઈનું મંડન. એમની પાસે નથી કોઈ ગાદી કે નથી કોઈ ગાદીપતિ !!! એમની પાસે તો કેવળ એક કારુણ્યભાવ છે કે કેમ કરીને આ જગતના જીવો અસહ્ય આર્તતામાંથી વિમુક્ત થઈ આત્માની અનંત સમાધિમાં લીન થઈ જાય ! પુણ્યયોગે જે એમની પાસે પહોંચી ગયો અને અંતે તે મને જ્ઞાનાવતારી પુરુષ તરીકે પિછાણી ગયો તેનો બેડો પાર થઈ ગયો ! બાકી સીધા-સાદા, સરળ ને કોટ-ટોપીના શણગારમાં સજેલા આ ભવ્યાત્માને સામાન્ય દ્રષ્ટિ શી રીતે સમજી શકે ? તે અર્થે તો ઝવેરીપણું જ જોઈએ ! પરમ કૃપાળુ દાદાશ્રીના શ્રીમુખેથી ઝરેલી પ્રકટ વાણીની યથાસમજ સંકલનના, જન સમક્ષ પ્રકટીકરણનો એક જ અંતર આશય છે કે જગત તેઓશ્રીને પિછાણી, તેઓશ્રીના જ્ઞાનનો અલભ્ય લાભ લઈ પ્રત્યક્ષ યોગ સાધી, આધિ-વ્યાધિ ને ઉપાધિમાંય નિરંતર સમાધિ પ્રાપ્ત કરી લે. જે અમ જેવા હજારો પુણ્યાત્માઓને એ લાધ્યું છે ! - ડૉ. નીરુબહેન અમીનનાં જય સચ્ચિદાનંદ ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને પોતાની જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્તદશામાં રહી આત્મરમણતા અનુભવે છે. ઉપોદ્ઘાતપાંચેય ઇન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પણ પોતપોતાના ધર્મમાં છે. તો ધર્મ ચૂકાયો કોનાથી છે ? આત્માથી. કાન સાંભળે છે ને પોતે માને છે ‘હું સાંભળું છું.’ આંખો જુએ છે ને પોતે માને છે કે ‘હું જોઉં છું.’ એમ પ્રત્યેક ઇન્દ્રિયના ધર્મને પોતાનો ધર્મ માને છે. આત્માનો ધર્મ તો જોવું, જાણવું ને પરમાનંદમાં રહેવું એ છે. તેને બદલે સ્વધર્મ ચૂકી પરધર્મમાં પ્રવેશે છે. બીજાના ધર્મને પોતાનો માને છે ને પોતાનો ધર્મ ભૂલી ગયો છે ! આત્માનુભવી આત્મજ્ઞાની પુરુષ સ્વરૂપનું ભાન કરાવી આપે છે. એટલે એને પોતાના ધર્મનું ભાન થઈ જાય છે, એટલે ઓટોમેટિક પારકાના ધર્મને પોતાનો માનતો અટકે છે. સ્વધર્મમાં આવ્યો એટલે અહીં જ મોક્ષ વર્તાય ! પોતે જે નથી, તેને હું માનવું તે મિથ્યા દ્રષ્ટિ - અવળી દ્રષ્ટિ. પોતે જે છે, તેને હું માનવું તે સમ્યક્ દ્રષ્ટિ - સવળી દ્રષ્ટિ. સાંસારિક જાણવાનો પ્રયત્ન છે એ મિથ્યાજ્ઞાન-અજ્ઞાન. ઊંધી શ્રદ્ધા બેઠી એટલે ઊંધું જ્ઞાન થયું ને તેથી ઊંધું ચારિત્ર ઊભું થયું. આત્માને જાણ્યો તે સમ્યક્જ્ઞાન. ભાવ એ ચાર્જ છે ને ઘટના બને છે તે ડિસ્ચાર્જ છે. ચોરી કરવાનો ભાવ કર્યા કરે છે તે ચોરીનું ચાર્જ કરે છે અને તેનું ફળ આવતા ભવે આવે છે. ડિસ્ચાર્જમાં કે જેના આધારે ત્યારે એ ચોરી કરે છે ! અને એનો પસ્તાવો કરે, પ્રતિક્રમણ કરે, તો એમાંથી એ છૂટી જાય છે. અક્રમમાર્ગમાં ભાવ-અભાવ બન્નેથી મુક્ત બને છે ને કેવળ જોવા-જાણવાનું જ બને છે ! જીવમાત્ર પ્રવાહરૂપે છે. પ્રવાહમાં આગળ પ્રવહે છે. એમાં કોઈ કર્તા નથી. કર્તા દેખાય છે તે નૈમિત્તિક કર્તા છે, સ્વતંત્ર કર્તા નથી. સ્વતંત્ર કર્તા હોય તો પોતે કાયમના બંધનમાં જ હોત. નૈમિત્તિક કર્તા બંધનમાં ના આવે. કુદરતી રીતે સંજોગોના ધક્કાથી જગત ચાલી જ રહ્યું છે. માત્ર રોંગ બિલિફ ઊભી થાય છે કે મેં કર્યું ! તેનાથી આવતા ભવનું કર્મ બીજ પડે છે ! તેથી અખા ભગતે કહ્યું, ‘‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી !’’ ‘‘કર્તા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ.’’ અજ્ઞાનતામાં અનૌપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. સચર છે એ ‘મિકેનિકલ’ આત્મા છે, પ્રકૃતિ છે અને મૂળ આત્મા અચળ છે. જગત આખું પ્રકૃતિને સ્થિર કરવા જાય છે. જે સ્વભાવથી જ ચંચળ છે, તે સ્થિર કઈ રીતે થઈ શકે ? અચળ એવું મારું આત્મા સ્વરૂપ છે ને બાકીની બીજી બધી જ ચંચળ પ્રકૃતિ છે, તે મારાથી તદ્દન જુદી જ છે એટલું માત્ર જાણી લેવાનું છે. પછી પ્રકૃતિ પ્રકૃતિમાં વર્તે ને આત્મા આત્મામાં વર્તે, ભિન્ન રહીને ! શાસ્ત્રો વાંચીને માને છે ‘હું જાણું છું.’ એ ઊલટો વધ્યો અહંકાર, પછી એ જાય ક્યાંથી ? એ તો જ્ઞાની મળે ત્યારે કામ થાય. આ બંધાયો છે તો કોણ ? અહંકાર એનો મોક્ષ કરવાનો છે. આત્મા તો મુક્ત જ છે. અજ્ઞાનતાથી માને છે કે ‘હું બંધાયો’, તે જ્ઞાન થતાં જ મુક્ત થાય ! પછી અહંકાર જાય. અહંકાર જાય એટલે ‘હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે.’ એ મિથ્યાદ્રષ્ટિ જ ઊડી જાય છે ! પ્રકૃતિ કરે વાંકું, તો તું કર અંદર સીધું. પ્રકૃતિ ક્રોધ કરે તો તું અંદર કર પ્રતિક્રમણ. મહીં આપણે સુધારીએ પછી પ્રકૃતિ ગમે તેટલું વાંકું કરે તો તું તેનો ‘જવાબદાર’ નથી. પ્રકૃતિ તદ્દન જુદી જ છે, એને જુદી જ રાખવાની. પારકી પીડામાં ના પડાય. પ્રકૃતિ અભિપ્રાયો રાખે ને આપણે અભિપ્રાયરહિત થવું. વીતરાગોની રીત કેવી હોય ? ‘આ ખોટા છે, ભૂલવાળા છે’, કહ્યું કે પકડાયા ! ત્યાં કોઈ અભિપ્રાય જ ના અપાય. આપણી દ્રષ્ટિ જ બગડવી ના જોઈએ ! અક્રમ વિજ્ઞાનમાં બધી જ છૂટ આપે છે. કર્મ નહિ બંધાય ક્યાંય, તેની ગેરન્ટી આપે છે દાદા માત્ર એક જ ભયસ્થાન બતાવે છે, અણહક્કના વિષયો માટે. દ્વેષ અને અભાવમાં બહુ ફેર. અભાવ એટલે ‘ડિસ્લાઈક’ એ માનસિક હોય. એ તો જ્ઞાનીને પણ હોય, લાઈક એન્ડ ડિસ્લાઈક ! અને દ્વેષ એ અહંકારી વસ્તુ છે ! અભાવ એ અભિપ્રાયો કરેલા, તેનાં ફળરૂપે રહે. એનાં પ્રતિક્રમણ કરવાં પડે તો જાય. મનને દબાવવાનું હોતું નથી. એને સમજાવી પટાવીને શાંત કરવાનું હોય. સંયમીને યમરાજા પણ વશ વર્તે. એટલે કે મૃત્યુનો પણ તેને ભય ના રહે ! યાદ આવ્યું તે પરિગ્રહ. સ્વરૂપથી છેટા કરે તે પરિગ્રહ. અક્રમ વિજ્ઞાનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય, જે ક્રોધ-માન-માયા-લોભને ઊડાડી મૂકે છે ! વ્યવહાર શુદ્ધ બને છે ને વર્લ્ડ બધું અજાયબી પામે એ વ્યવહારને જોઈને ! પરમ પૂજ્ય દાદાશ્રીનો એવો વ્યવહાર જોવા મળે. એ જોઈને જ આપણને એવું શીખવા મળે. પરમ વિનય તો જ્ઞાન મળતાં જ એની મેળે ઉત્પન્ન થાય છે ! પરમ વિનયથી મોક્ષ છે, ક્રિયાઓથી નહીં. મંદિરોમાં વિનય છે. જ્ઞાની પાસે પરમ વિનય ઉત્પન્ન થાય. જે સંસારમાં અભ્યુદય ને મોક્ષ માટેનું આનુષંગિક, બન્ને ફળ આપે ! જેનો વિનય કરો, તેની નિંદા ના કરાય. જ્ઞાની ભાવને જ જુએ, ક્રિયાને નહિ. કોઈએ કોઈને મારી નાખ્યો તો તે પ્રકૃતિ કરે છે, હિસાબ છે, વ્યવસ્થિત છે, વિ.વિ. જ્ઞાનનાં અવલંબનો ફર્સ્ટ સ્ટેજનાં છે અને છેલ્લા સ્ટેજમાં તો મૂળ સ્વભાવમાં તો એ મરતો જ નથી, નાશવંત ચીજોનો નાશ થયા જ કરે છે. માટે જગત નિર્દોષ છે. મારે છે તે ય નિર્દોષ ને મરે છે તે ય નિર્દોષ, બચાવ્યો તે ય નિર્દોષ ! બધાં ય દુઃખોનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનથી કષાય છે ને કષાયો જ રાત-દહાડો કૈડે છે ! જ્ઞાન મળ્યા પછી જપ-તપ-ક્રિયાઓ વિ. સાધનોની જરૂર નથી હોતી. માત્ર જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાનું, તો થઈ જાય મોક્ષ ! જ્ઞાની મળે તો જ અંતર ભેદાય ને તો જ અંદરનું બધું દેખાય, ને તેનાથી છૂટાય. આત્માના અનુભવની વાતો જ્ઞાની પાસેથી સાંભળી બુદ્ધિ ઝીલી લે. પણ તે ય જ્ઞાનીનું પ્રત્યક્ષ સાંભળીને બુદ્ધિ સમ્યક્ થાય તે જ ઝીલી શકે, નહિ તો કાન સુધી જાય. જ્ઞાનીની વાણી પરમાત્માને ટચ કરીને નીકળેલી હોય. તેથી આવરણો ભેદીને સામાને ટચ કરે અને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં જ તેને પકડી લે. અને બીજા બધાની મનને સ્પર્શીને વાણી નીકળે, તેથી તે ફક્ત મનને જ સ્પર્શે. અવસ્થામાં તન્મયાકાર થાય ત્યાં અસ્વસ્થ થઈ જાય ને અવિનાશી એવા આત્મામાં રહે તો સ્વસ્થ જ રહે કાયમ ! પૌદ્ગલિક અવસ્થાને જાણે ને આત્મા પોતે પોતાને જ જુએ. એટલે બધાં આવરણો ભેદાય ને બધું ચોખ્ખું થઈ જાય ! જ્ઞાની નિરંતર દેહથી જુદા જ રહે. તેના જ્ઞાતા-દ્રષ્ટા જ રહે. તેથી તેમને કોઈ દુઃખ અડે જ નહિ. આત્માનો સ્વભાવ જ નથી કે તેને કંઈ દુઃખ અડે ! ટપલાં પડે ત્યારે આખી રાત જાગી ને ઈન્વેન્શન (શોધખોળ) કરે તે પ્રગતિને પાળે. ઠંડકમાં પડેલાની પ્રગતિ રૂંધાય. મોક્ષે જવાનો દરેક જીવને હક્ક છે. માત્ર જ્ઞાનીના શરણમાં જવું પડે. આ કાળમાં ‘અક્રમ વિજ્ઞાન’ એ મોક્ષની છેલ્લી ગાડી છે, જે આ છેલ્લી તક ઊઠાવી લે, એ જાય મોક્ષે સડસડાટ. પછી હજારો વર્ષો ઠેકાણું નહિ પડે ! આયુષ્યમાં ફેરફાર કોઈથી ય ના થાય. પછી તે સંત હોય, મહાત્મા હોય, જ્ઞાની હોય કે તીર્થંકર હોય. મૃત્યુ સમયે સમાધિ મરણ જેને થાય, તેને દેહની પીડા પજવે જ નહિ. છેલ્લો કલાક સંપૂર્ણ સમાધિમાં જાય અને અક્રમજ્ઞાન મળ્યું હોય તે બધાંને જ અંત સમયે તો દાદા પ્રત્યક્ષ દેખાય અગર ‘હું શુદ્ધાત્મા છું’ એ જ એકલું લક્ષમાં રહે, દેહ જુદો જ લાગે, મરે છે તે જુદો જ લાગે. મરતી વખતે આખી જિંદગીનું સરવૈયું આવી જાય ! સિદ્ધ ભગવંતો સિદ્ધક્ષેત્રમાં જ હોય, કેવળ જ્ઞાન સ્વરૂપે જ હોય. નિરંતર પરમસુખમાં હોય ને આખા બ્રહ્માંડને પ્રકાશે. ‘શુદ્ધાત્માને જોવો’ એટલે શું ? આ આંખે એ ના દેખાય. જેમ એક દાબડીમાં કિંમતી હીરો વાસીને મૂકી દીધો, તે પછી ખ્યાલમાં જ રહે કે ‘આમાં હીરો છે ને તે આવો છે’ વિ. વિ. તેવું જ્ઞાન મળે પછી મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં જ એકસેપ્ટ કરે કે ‘હું શુદ્ધાત્મા જ છું ને બધાયમાં શુદ્ધાત્મા જ છે.’ પછી શંકા ના થાય ! જ્ઞાનીની આરાધના કરે એટલે શુદ્ધાત્માની જ આરાધના કર્યા બરાબર છે અને તે જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે. આત્મસુખની અનુભૂતિ શું ? કેવી રીતે એની ખબર પડે ? આત્મસુખનું લક્ષણ એટલે નિરંતર નિરાકૂળતા રહે. આકુળતા-વ્યાકુળતા થઈ તો ઉપયોગ ચૂક્યા, એમ જાણવું. શાતા વેદનીય કે અશાતા વેદનીય, બન્નેને જાણે તે આત્માનુભવ. શારીરિક દુઃખ કોને થાય ? આત્માને નહિ, દેહને થાય. તે ય વ્યવસ્થિત છે. વેદના થાય ત્યારે આપણે ‘ચંદુભાઈ’ને કહી દેવું. આમ હાથ ફેરવીને (પોતે પોતાને જ), ‘તમને બહુ માથું દુઃખે છે ? હમણાં ઓછું થઈ જશે !’ અને ત્યાં ‘મને’ દુખ્યું થયું કે ભૂત વળગ્યું. ડીક્ષનરી બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. ‘આ બધું સુખ-દુઃખ પાડોશીને છે’ એમ જાણવું. પોતાની જાત જોડે, પ્રકૃતિ જોડે જુદાપણાનો વ્યવહાર ચાલુ કરી દેવાનો. જાત જોડે જુદા રહીને એની સાથે વાતો કરવાની, ક્ષત્રિયની જેમ, તો પ્રકૃતિની પજવણી જશે. ‘ચંદુભાઈ’ને અરીસા આગળ લઈ જઈને માથે હાથ ફેરવીને વાતો કરવી, દિલાસો આપવો. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, એમ મોક્ષના ચાર પાયા કહ્યા ભગવાને. ઉણોદરી એ ઊંચામાં ઊંચું બાહ્ય તપ છે. અને મોક્ષ માટે અંતર તપની જરૂર છે. અંતર તપ એટલે ભયંકર વેદના થતી હોય તે ઘડીએ ‘આપણે’ હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહેવાનું, સ્વપરિણતિમાં જ રહેવાનું. પરપરિણતી ઉત્પન્ન જ ના થાય, એ તપ કરવાનું છે ! આ પરપરિણામ છે, આ મારાં પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું એનું નામ તપ ! અને એનાથી જ મોક્ષ ! વેદનાને પારકી જાણે તો તેમ જાણ્યા જ કરે અને ‘મને થાય છે’ થયું કે પછી એ વેદનાને વેદો. અને ‘આ સહન થતી નથી’ કહ્યું કે વેદના પછી દસ ગણી લાગે ! બોલે તેવી અસર થઈ જાય. ત્યાં ક્ષત્રિયપણાથી કામ લેવું. આત્માનો સ્વભાવ કેવો છે ! જેવું ચિંતવે તેવો તરત જ થઈ જાય ! સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો દુઃખમય થઈ જાય ! માટે જાગૃત રહેવાનું કે દુઃખમય ચિંતવના ના થઈ જાય. એમ ના બોલાય કે મને માથું દુખ્યું. ત્યાં તો એમ જ બોલાય કે ‘ચંદુભાઈ’ને માથું દુખે છે ! પરભાવમાં પરપરિણતિ ઉત્પન્ન ના થવી જોઈએ. પરપરિણામને પોતાનાં પરિણામ માને, એનું નામ પરપરિણતી. જ્ઞાનીને, તીર્થંકરોને પણ અશાતા વેદનીય હોય. પણ તેને તે જાણે, કેવળજ્ઞાને કરીને જાણે. ચિત્તને સ્વરૂપમાં જ રાખવાનું છે, વેદનામાં કે વિનાશી વસ્તુમાં નહિ. ચિત્ત અવિનાશીમાં રહ્યું તો તે થઈ ગયું શુદ્ધ. પછી એ વિદેહી થઈ ગયો ! નિજ શક્તિ સ્વક્ષેત્રમાં જ છે. તે ઉત્પન્ન થઈ ગઈ કે કામ થઈ ગયું. આડાઈ કોને કહેવાય ? પોતાની ભૂલ થઈ હોય, તેની પોતાને ખબર પડે. છતાં કોઈ પૂછે કે આમ કેમ કર્યું ? તો કહે કે આવું કરવા જેવું હતું, એ આડો કહેવાય. ભૂલની ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બે પ્રકારનાં ઈનામ. લોટરી લાગે તે અને ગજવું કપાયું તે ય, બન્ને વ્યવસ્થિત છે. જ્યાં ગચ્છ મતવાળી વાણી નથી, કેવળ આત્માસંબંધીની જ વાણી છે, તે બ્રહ્મસ્વરૂપ કહેવાય. આત્મા અનંત છે. મોક્ષમાં પ્રત્યેક આત્મા જુદા જુદા જ છે ને સ્વસુખમાં જ નિરંતર રહે છે. આખો જીવન વ્યવહાર ગલન સ્વરૂપે છે ને પાછો વ્યવસ્થિત છે. પાંચેવ ઇન્દ્રિયો ઉદયાધીન છે. કર્મબંધ શેનાથી છે ? ‘હું ચંદુલાલ છું’ એ માન્યતા જ કર્મબંધનું મૂળ કારણ છે. માત્ર વાતને જ સમજવાની છે. આ વિજ્ઞાન છે. વિચારો આવે, પજવતા આવે, તેને જુદા જોયા જ કરવાના. વિચારો મનમાંથી આવે છે. મન કહે, ગાડી અથડાશે તો ? ત્યાં તેને જોયા કરવાનું ને નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું, મનમાં તન્મયાકાર નહીં થઈ જવાનું. બહુ દુઃખ આવી પડે તો તેને કહેવાનું કે ‘દાદા પાસે જાવ.’ સંસારની બહાર ના નીકળવા દે, એનું નામ બુદ્ધિ. બુદ્ધિ નફો-તોટો દેખાડે, બળતરા કરાવે. જ્ઞાની પાસે અંતરદાહ કાયમનો બંધ થઈ જાય ! સમ્યક્ બુદ્ધિ હોય ત્યાં ગચ્છ-મત કશું જ ના હોય ! આ મારું, આ તમારું એમ જુદાઈ ના હોય ! આઉટર બુદ્ધિ એ મિકેનિકલ છે અને ઇનર બુદ્ધિ એ સ્વતંત્ર બનાવનારી છે. એ બુદ્ધિ પણ મિકેનિકલ છે. કોઈ ઉપરી જ નથી એવું સ્વતંત્ર બનાવે છે. મિકેનિકલ બુદ્ધિથી સંસારી ચીજો મળે. ‘હું કોણ છું ? હું શેના આધારે છું ?’ એ આધાર-આધારીની ખબર હોવી જરૂરી છે. જગતમાં શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. ને શું જાણવાનું છે ને શું નથી જાણવાનું, આટલું જ સમજવાનું છે. વિરહ એટલે ચેન જ ના પડે, ત્યારે સંસારથી છૂટાય. વિરહો જ્ઞાનીનો હોવો જોઈએ. એનાથી મહીં વીજળી ઉત્પન્ન થાય અને ‘સ્વરૂપ’ તેજવાન થાય ! વિરહ એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. જ્ઞાનીનો ઘણાં કાળનો પરિચય થાય, તેને વિરહો લાગે. જેને મોક્ષે જવાનું હોય તેને એ વિરહની વેદના જાગે ! આપણું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ રોંગ બિલિફ ફ્રેકચર કરી આપે ને રાઈટ બિલિફ બેસાડી આપે. પછી ‘હું આત્મા જ છું’ એનું ભાન થાય, જ્ઞાન થાય ને નિરંતર તેનું લક્ષ રહે ! ત્યાર પછી માયા જાય ને મોહ જાય. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પર જે મોહ હતો, તે પ્રશસ્ત મોહ કહેવાય. એનાથી સંસારના બધા જ મોહ જાય અને મોક્ષ મળે જ. પ્રશસ્ત મોહ એટલે જે મોક્ષે લઈ જનારા હોય, તેના પર મોહ થઈ જાય. તે નુકસાનકારક નથી. એ તો મોક્ષ આપી દેશે. જરા મોડું થાય, પણ તેથી શું ? વીતરાગો પર મોહ, વીતરાગતા લાવનારી વસ્તુઓ ઉપર મોહ, એનું નામ પ્રશસ્ત મોહ. જ્યાં શંકા પડે ત્યાં સાયક્લોન ચઢે ! અને મોક્ષ માટે તો સંપૂર્ણ નિઃશંક થવું પડે ! આત્મા માટે નિઃશંક થવું પડે. અને એ નિઃશંકતા જ્ઞાની પુરુષ આત્માનું જ્ઞાન આપે ત્યારે જ થાય ! પછી કર્મ નવું ચાર્જ ના થાય ! જો સંસારમાં આગળ વધવું હોય તો બુદ્ધિ-માર્ગ પકડો ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધ-માર્ગ પકડો ! જ્ઞાનીના સત્સંગથી વિપરીત બુદ્ધિ હોય તે સમ્યક્ થાય અને તે મોક્ષે લઈ જાય ! સંપૂર્ણ અબુધ થાય ત્યાં કેવળજ્ઞાન થાય ! મોક્ષે જતાં બુદ્ધિ કામની નથી. આજ્ઞા વિના સ્વચ્છંદ ના રોકાય ને સ્વચ્છંદ ગયા વિના મોક્ષ ના થાય. માટે જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને એ જ તપ ! આજ્ઞાનું આરાધન એ જ મોક્ષનો ઉપાય ! યોગ સાધનાથી એકાગ્રતા થાય. થોડીવાર મન સ્થિર થાય. અને એ જો એબૉવ નોર્મલ થઈ જાય તો તે મહાન રોગિષ્ટ છે. એનાથી અહંકાર વધી જાય ને પરમાત્મા છેટા થાય. સાક્ષીભાવ એ અહંકારથી રહે છે ! કોઈ ગાળો આપે, અપમાન કરે ને ખરાબ લાગી જાય, તે જ પુરાવો છે કે અહંકાર છે મહીં. સાક્ષીભાવ ક્રમિક માર્ગનું એક પગથિયું છે. અંતે તો જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવમાં આવવાનું છે. આત્માની બાબતમાં સ્વમતિએ ચાલવું એને જ સ્વચ્છંદ કહ્યો છે. સ્વચ્છંદથી માર્ગમાં અંતરાય પડે. વર્તનમાં લાવવાનું નથી, સમજમાં ફીટ કરી લેવાનું છે, સાચું જ્ઞાન ! સમજનું ફળ જ વર્તન ! સમજ્યો હોય, પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી દર્શન કહેવાય ને વર્તનમાં આવી ગયું તે જ્ઞાન કહેવાય. જ્ઞાનની માતા કોણ ? સમજ ! એ સમજ ક્યાંથી મળે ? જ્ઞાની પાસેથી. પૂર્ણ સમજ એ કેવળદર્શન ને તે વર્તનમાં આવે તે કેવળજ્ઞાન ! જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં મોક્ષમાર્ગ નથી. જ્યાં સમજવાનું છે તે જ મોક્ષમાર્ગ છે ! મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે ને સુગમ છે, કંઈ પણ મહેનત વગરનો છે. માટે કામ કાઢી લો. ‘આ ખોટું છે’ એવું સમજાય ત્યારે એની મેળે એ છૂટી જાય. જેમ જેમ સમજણ પાકી થતી જાય તેમ તેમ જ્ઞાન પરિણમતું જાય. વર્તનમાં આવ્યું તેનું નામ ચારિત્ર. સમ્યક્ ચારિત્ર જોઈ શકાય અને કેવળ ચારિત્ર એ ઇન્દ્રિયગમ્ય નથી, જ્ઞાનગમ્ય છે. શ્રદ્ધા કરતાં દર્શન ઊંચું કહેવાય. શ્રદ્ધા ફરી જાય ને દર્શન ફરે નહિ કદી ! અને મહીં સૂઝ પડે એ કુદરતી બક્ષીસ છે. અનેક અવતારોના અનુભવના સરવૈયારૂપે સૂઝ મળે છે ! બે જણ વાતો કરે તે આખ્યાન ને ટોળામાં બોલે તે વ્યાખ્યાન ! અનુકૂળમાં ચેતો. અનુકૂળતા લપસાવે ને પ્રતિકૂળતા જાગૃત રાખે ! જેવા ભાવે બંધ પડે તેવા ભાવે નિર્જરા થાય ! ક્રૂર ભાવનો બંધ પડે તો નિર્જરા થતી વખતે ક્રૂર દેખાય ! શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે અને અનુભવ જ્ઞાન અનુભવી જ્ઞાની પાસેથી જ મળે. શાસ્ત્રો આપણી ભૂલ ના દેખાડે. એ સામાન્યભાવે બધાંને કહી જાય. પ્રત્યક્ષ વિના ઉપાય નથી. કાગળ પર દોરેલો દીવો અંધારામાં પ્રકાશ આપે ? શાસ્ત્રોની સીમા કાગળ પરના દીવા જેટલી જ છે. સાચો પ્રકાશ પ્રગટ દીવો, જ્ઞાની જ આપી શકે ! જ્યાં કષાય ત્યાં પરિગ્રહ અને અકષાય તો મોક્ષ ! અક્રમજ્ઞાન મળ્યા પછી કષાયો થતા નથી. કારણ કે અહીં કર્મ બંધાતા જ નથી. આત્મજ્ઞાન થાય ત્યાં કષાયો જાય ! સત્સંગ શેના માટે કરવાનો ? આટલું જ સમજવા માટે કે કશું કરશો નહિ. જે પરિણામ થાય તેને જોયા કરો ! નિયતિવાદ એટલે આ સંસારના જીવોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે, તે કોઈ નિયતિના કાયદાને અનુસરીને ચાલે છે. પણ એમાં એકલું નિયતિથી જ પતતું નથી. બીજાં કારણો જેવાં કે કાળ, સ્વભાવ, પુરુષાર્થ, પ્રારબ્ધ બધું જ આવે છે. આત્મજ્ઞાન મળે ત્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ ચિદ્રૂપ ને એ જ શુદ્ધાત્મા કહેવાય. પૂજ્ય દાદાશ્રી જ્ઞાન આપે ત્યારે ચિત્ત આખું ય શુદ્ધ થઈ જાય. એટલે જ પછી નિરંતર ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ રહ્યા કરે છે ! જ્યાં અહંકાર જાય ત્યાં નિરાકૂળતા થાય. ‘હું ચંદુલાલ છું’ એ માન્યતા પ્રકૃતિને આધાર આપે છે. ‘હું શુદ્ધાત્મા છું’નું જ્ઞાન થયું કે એ આધાર ખસી ગયો. એટલે નિરાધાર થતાં જ એ વસ્તુ ખરી પડી. અહંકાર ખસી ગયો એટલે અકર્તા થયો. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે કઈ રીતે જવાય ? પૂજ્ય દાદાની પાંચ આજ્ઞા પાળે તેનાથી. આત્મા ને પુદ્ગલમાં શું ફેર ? આત્મા એક જ વસ્તુ છે આપણી પાસે ને પુદ્ગલ પરમાણુઓ અનંત છે. પુદ્ગલ વિભાવિક વસ્તુ છે ને આત્મા સ્વભાવિક છે. પુદ્ગલ પુરણ-ગલન થયા કરે ! કશું કરવાનું નથી, માત્ર જ્ઞાનીની કૃપાપાત્ર થવાનું છે. કૃપાપાત્ર થવામાં નડે છે શું ? આપણી આડાઈઓ ! દ્રવ્ય ના પલટે. ભાવ પલટે તો છૂટી જવાય. ચોરી કરવાથી બંધ ના થાય, પણ ચોરી કરવાનો ભાવ પલટી જાય તો ચોરી બંધ થઈ જાય ! પ્રતિક્રમણ કરવાથી ભાવ પલટી જાય છે ને કર્મ ચોખ્ખું થઈ પૂરું થઈ જાય છે ! જગત અહંકાર કાઢવામાં ફસાયું છે. દાદાશ્રી કહે છે, ‘‘ઇગોલેસ થવાની જરૂર નથી, માત્ર ‘આપણે કોણ છીએ’ એ જાણવાની જ જરૂર છે. આપણું જે સ્વરૂપ છે એમાં ઈગોઈઝમ છે જ નહિ.’’ તમે ચંદુભાઈ નથી છતાં માનો છો કે ‘હું ચંદુભાઈ છું’, એનું નામ અહંકાર. મહીં કષાયો થાય, ચીડ ચઢે, ગુસ્સો થાય, એનું કારણ શું ? અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે, અહંકારને કારણે મહીં રાગ-દ્વેષ થયા જ કરે છે ! એટલે સંસારનું રૂટ કોઝ અજ્ઞાનતા ! પૈસાવાળો કોણ ? જે મનનો રાજેશ્રી હોય તે ! પૈસા હોય તો ય વાપરે ને ના હોય તો ય વાપરે ! અગિયાર વરસે પૈસો બદલાય. અગિયાર વરસ સુધી એક પૈસો ય નવો ના આવ્યો હોય, તો કરોડપતિ ય ખાલી થઈ જાય ! પહેલાંના વખતમાં લોકો લક્ષ્મીને કેમની સાચવતા ? મિલકતના ચાર સરખા ભાગ કરી પચીસ ટકાની પ્રોપર્ટી લઈ લે ! પચીસ ટકાનું સોનું, પચીસ ટકા વ્યાજે મૂકે ને પચીસ ટકા વેપારમાં નાખો. આ સીસ્ટમથી નાદાર જ ના થાય, ક્યારે ય પણ ! બહુ ખોટ જાય ત્યારે સમજી જવું કે પાપનો ઉદય વર્તે છે. માટે માથાકૂટ મૂકી શાંતિથી સત્સંગ કર, આત્માનું કર. આવા સમયમાં ધંધામાં કંઈ પણ કરવા જશે તે ઊંધુ થશે. જગતનાં લોકો શરીરને ચેતન કહે છે. જે કામ કરે છે, હાલે છે, ચાલે છે તેને ચેતન કહે છે. પણ ખરું ચેતન કંઈ પણ ક્રિયા કરતું જ નથી. માત્ર જોવાનું ને જાણવાનું, એ બે જ ક્રિયા એની છે ! બીજું બધું અનાત્મ ભાગનું છે ! બોલે છે તેય મિશ્ર ચેતન છે. મિકેનિકલ ચેતન છે. રિયલ ચેતન નથી. મૂળ સ્વરૂપ તો સ્થિર છે, અચળ છે. બીજું બધું ચંચળ છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ, સચર છે. આત્મા અચર છે, જગત સચરાચર છે ! ચિત્ત શુદ્ધ થયું એ જ અંતરાત્મા. પહેલું શુદ્ધાત્મા પ્રતીતિમાં આવે, લક્ષમાં આવે. ત્યાર બાદ અનુભવ પદમાં રહેવા શુદ્ધાત્મામાં જ તન્મયાકાર રહેવાનું. પણ જ્યાં સુધી કર્મો ખપાવવાનાં બાકી છે ત્યાં સુધી નિરંતર શુદ્ધાત્મામાં તન્મયાકાર રહેવાય નહિ. એટલે એને અંતરાત્મદશા, (ઇન્ટ્રીમ ગર્વનમેન્ટ) કહી. બધાં કર્મો પૂરાં થાય એટલે પરમાત્મા થાય. શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી વૃત્તિઓ બધી નિજભાવમાં વહે છે. ચિત્તને શુદ્ધાત્મામાં રાખો કે ‘દાદા ભગવાન’માં રાખો, તો ય તે ચિત્તને શુદ્ધ જ રાખશે. સંસારમાં ભટકતું ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય, એ મિશ્ર ચેતન છે. અને શુદ્ધ ચિત્ત થાય તે શુદ્ધાત્મા. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું, એ જ નિજસ્વરૂપનું ભાન થયું ને એ જ અંતરાત્મદશા થઈ ગણાય. ચિત્ત અને પ્રજ્ઞામાં શું ફરે ? ચિત્ત બહાર ભટકે. શુદ્ધ ચિત્ત થાય પછી એ ભટકે નહિ. પ્રજ્ઞાશક્તિ બહાર ના જાય. પ્રજ્ઞા તો મૂળ આત્માનું અંગ છે, ડાયરેક્ટ શક્તિ છે. જે જ્ઞાન ને અજ્ઞાનને નિરંતર છૂટાં રાખે! જ્ઞાનીની સમજણે મોહનીય કર્મ આખું ઊડી શકે છે. અથડામણ ટાળો. પૂર્વગ્રહરહિત થાય તો જ કલ્યાણ થાય. અક્રમજ્ઞાન મળે પછી ‘હું શુદ્ધાત્મા છું’ એ ઉપયોગ રહેવો જોઈએ. ‘દરેક જીવમાત્રમાં શુદ્ધાત્મા છે’, તે દ્રષ્ટિમાં રહેવું જોઈએ. પછી તે આપણું અપમાન કરનારો હોય કે ખીસું કાપનારો હોય ! આત્મા જાણ્યા પછી દરેકે પોતાનું પુદ્ગલ ખપાવવાનું છે. દરેકને પોતપોતાના ધર્મના પુદ્ગલનું આવરણ હોય. જૈનને જૈનપુદ્ગલ ને વૈષ્ણવને વૈષ્ણવપુદ્ગલ, જે મોક્ષે જતાં અટકાવે. તેને ખપાવ્યે જ મોક્ષ થાય. જ્ઞાનીને ચારિત્રમોહ બહુ જૂજ હોય ને જ્ઞાનીના આશ્રિતોને તે ખપાવાનો બાકી હોય ! જેટલી જેટલી ‘ફાઈલો’ પતે એટલો એટલો ચારિત્રમોહ ખપ્યો કહેવાય. શુદ્ધ ઉપયોગથી જ ચારિત્રમોહ ખપે ! કર્મ, ક્રિયાથી નથી બંધાતું, ધ્યાનથી બંધાય છે ! પાંચ લાખનું દાન પુણ્ય નથી બાંધતું, પણ તે વખતે મહીં ધ્યાનમાં શું હતું કે મેયરના દબાણથી આપવા પડ્યા, નહિ તો પાંચ રૂપિયા ય ન આપત ! તો તે તેવું કર્મ બાંધે છે. પણ પાંચ રૂપિયા ય ન આપવાનું !!! ધ્યાનનો આધાર શો ? અંદરના ‘ડેવલપમેન્ટ’ ઉપર. ધર્મ શું ? અર્થ શું ? કામ અને મોક્ષ શું ? સ્વાર્થ એટલે સાંસારિક સ્વાર્થ કહે છે, તે ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ, એ સ્વાર્થ છે. આત્માસંબંધી જ સ્વાર્થ એ પરમાર્થ. એવા સ્વાર્થી તો એક આત્મજ્ઞાની પુરુષ જ હોય ! સાંસારિક સ્વાર્થમાં લઈ જાય તે સકામ ને પરમાર્થમાં લઈ જાય તે અકામ. ધર્મ એટલે શું. સંસારમાં રખડાવે તે શુભધર્મ ને મોક્ષે લઈ જાય કે શુદ્ધધર્મ. અધર્મને ધક્કા મારવા તે શુભધર્મ. દાન, પુણ્ય, સેવા, મદદ વિ. પુણ્ય બાંધે, એ રિલેટિવ ધર્મ. અને પુણ્ય-પાપથી છોડાવે તે રિયલ ધર્મ. મોક્ષ એટલે સંસારના સર્વે બંધનોથી છૂટી સિદ્ધગતિ પામે તે. છૂટવાના કામીને આ જગતમાં કોઈ બાંધનાર નથી ! આ જગતનો કોઈ કર્તા નથી, ભગવાન પણ નહિ. માત્ર સાયન્ટિફિટ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી જગત ચાલે છે ! બાળકૃષ્ણની ભક્તિથી વૈકુંઠ મળે. યોગેશ્વરકૃષ્ણની ભક્તિ અને સાચા જ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષ મળે. કૃષ્ણ ભગવાને ‘હું’ શબ્દ ગીતામાં ‘આત્મા’ માટે જ વાપર્યો છે, દેહધારી શ્રીકૃષ્ણ માટે નહિ. ધ્યાન બે પ્રકારનાં : એક પૌદ્ગલિક એટલે કે કુંડલિનીનું, ગુરુનું, મંત્રનું વિ. ધ્યાન તે અને બીજું આત્માનું ધ્યાન. તે નિર્વિકલ્પ સમાધિમાં લઈ જાય. નિર્વિકલ્પ એટલે વિકલ્પરહિત દશા ને નિર્વિચાર એટલે વિચાર રહિત દશા ! જ્ઞાની સિવાય નિર્વિકલ્પ દશા જોવા ના મળે ક્યાંય ! સાંખ્ય અને યોગ, એ બેઉ પાંખે ઊડાય. સાંખ્ય એટલે જ્ઞાન જાણવું. મન-વચન-કાયા, અંતઃકરણનાં ધર્મો જાણવા, એનું નામ સાંખ્ય. યોગ વગર, (ગુરુની) માનસિક પૂજા વગર, ઊંચે ચઢાય નહિ. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આધિ-વ્યાધિ ને ઉપાધિમાં ય સમાધિ રહે, તે સાચી સમાધિ ! ધ્યાનમાં જે પ્રકાશ દેખાય છે તે જ્ઞેય છે ને એને જાણનારો આત્મા છે, ને આત્મા જ્ઞાતા છે. મનુષ્ય જીવનનો હેતુ મુક્તિ પ્રાપ્તિનો છે ! અને તે માટે ‘જ્ઞાની પુરુષ’ને ખોળવા ને તે મળે તો કામ નીકળી જાય ! શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે જગતમાં, તેમાં વળી સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. સંયોગો બધા વોસરાવી દીધા તો મોક્ષ થાય ! જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય, તેને આખો ય દહાડો સામાયિક છે. અક્રમમાં નિરંતર સામાયિક રહે તેમ છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન જાય નહિ તો એને માટે ૪૮ મિનિટ સામાયિકમાં બેસી આર્તધ્યાન રૌદ્રધ્યાનથી સદંતર મુક્ત રહેવું તો તે સામાયિક ખરી કરી કહેવાય. એના માટે સામાયિક કરતાં પહેલાં નિયમ કરવો પડે કે ‘હે ભગવાન, હું ચંદુલાલ, મારું નામ, મારી કાયા, મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને સમર્પણ કરું છું. અત્યારે મને સામાયિક કરતી વખતે વીતરાગ ભાવ આપો !!’ તીર્થંકર થનારનાં લક્ષણો શું ? નિરંતર જગતકલ્યાણની ભાવના. એ સિવાય બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું, પીવાનું, રહેવાનું, સૂવાનું ગમે તેવું મળે, તોય કલ્યાણ ભાવના નિરંતર તેવી ને તેવી જ રહે. પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું હોય, તે જ બીજાનું કલ્યાણ કરી શકે. તે જ કલ્યાણ ભાવના ભાવી શકે ! અને જ્ઞાનીની આજ્ઞામાં નિરંતર રહે, કૃપાપાત્ર બને તો તે સ્ટેજમાં આવી શકે ! સ્વસ્તિક શું સૂચવે છે ? ચાર પાંખો ચાર ગતિ સૂચવે ને મધ્યમાં મોક્ષ ! આ દેખાય છે તે દાદા ભગવાન નહોય ! તમને જે યાદ આવે છે તે ખરા દાદા છે ! આ દેખાય છે, તે તો એ. એમ. પટેલ છે અને મહીં બેઠા છે તે પ્રગટ પરમાત્મ સ્વરૂપ ‘દાદા ભગવાન’ છે ! દેહધારીને ભગવાન ના કહેવાય. દેહ તો નાશવંત છે ને પરમાત્મા તો પરમેનન્ટ છે, અમારી અંદર વ્યક્ત થયા છે દાદા ભગવાન ! સુરતના સ્ટેશનના બાંકડા પર ૧૯૫૮માં !!! સંતોનો વ્યવહાર શુભાશુભ હોય. જ્ઞાનીનો શુદ્ધ વ્યવહાર હોય. જે વ્યવહાર પૂરો થતો જાય તે શુદ્ધ થયો કહેવાય. જ્ઞાની પુરુષને દેહધારી પરમાત્મા જ કહેવાય ! એમને એક પણ સ્થૂળ ભૂલ કે સૂક્ષ્મ ભૂલ ના હોય, તે જ્ઞાની પુરુષ કહેવાય. જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યૈ પાકે ત્યારે આવા જ્ઞાની પુરુષનો ભેટો થાય. આ કાળમાં આવા જ્ઞાની થઈ ગયા, સંપૂજ્ય શ્રી દાદાશ્રી ! ઘણાને પ્રશ્ન થાય કે દાદાનું જ્ઞાન મેળવવું છે, પણ પાછળના ગુરુ કરેલા તેનું શું ? તે માટે પૂ. દાદાશ્રી અત્રે કહે છે એમને રહેવા દેવાના. વ્યવહારમાં ગુરુ જોઈએ ને મોક્ષ માટે જ્ઞાની જોઈએ. ગુરુ સાંસારિક ધર્મો શીખવાડે તે. એ સંત પુરુષો કહેવાય. અશુભ છોડાવે ને શુભ પકડાવે. આત્મપ્રાપ્તિ ત્યાં ન હોય અને જ્ઞાની પુરુષ મોક્ષ આપે, કલાકમાં જ, રોકડો ! ભક્ત અને જ્ઞાનીમાં શું ફેર ? સેવક અને સેવ્ય જેવો ! જ્ઞાની જબરજસ્ત યશનામ કર્મ લઈને આવ્યા હોય. તેનાથી લોકોના ભૌતિક કામો પણ થઈ જાય. પણ જ્ઞાની તેમાં પોતે કંઈ જ કરતા ના હોય. જ્ઞાનીના અંગૂઠામાં અહંકાર ઓગાળવાનું સોલ્વન્ટ હોય અને એ જગ્યાએથી જલદી તાર તમને પહોંચે. એક સમય પણ પરસમયમાં ન રહે, નિરંતર સ્વસમયમાં રહે તે સર્વજ્ઞ. દાદાને બધાં જ કર્મોનો અભાવ હોય. પૂજ્ય દાદાશ્રી કહેતા કે અમને કેવળજ્ઞાનમાં ચાર ડીગ્રી જ ખૂટે છે, કાળને લઈને ! મોક્ષમાર્ગમાં લાયકાતમાં માત્ર ખપે, ‘પરમ વિનય ને હું કંઈ જ જાણતો નથી’, એ ભાવ. જ્ઞાનીનો અવિનય પોતાને જ મોક્ષના અંતરાય પાડે છે. જે ગામ જવાનું છે, એનું જ જ્ઞાન જાણવા જેવું છે. એ સિવાય બીજું કંઈ પણ ઈન્વાઈટ કરવા જેવું નથી. અક્રમ વિજ્ઞાનમાં આરતિ, ભક્તિ વગેરે ક્રિયાઓ ના કહેવાય ? આમાં પોતે કર્તા થતો નથી. જુદો રહીને કરાવે છે. એટલે અહીં કોઈ વ્યક્તિની ભક્તિ નથી પણ પોતે પોતાના જ આત્માની ભક્તિ કરે છે. એ પોતે ત્યારે પ્રજ્ઞાસ્વરૂપે હોય છે, અજ્ઞા તો અહીં ખલાસ થઈ ગઈ. સંપૂજ્ય દાદાશ્રી પોતે પણ પોતાના અંદરના દાદાને જાતે બન્ને હાથથી નમસ્કાર કરીને ‘અંદર બેઠેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ ગવડાવતા ને બધાંને પણ પોતાની અંદરના જ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલવાનું કહેતા ! આનું નામ જ પરાભક્તિ ! સાંભળનારો ને બોલનારો બેઉ સત્સંગ કરે છે, એવું આ અક્રમ વિજ્ઞાન છે. દાદા ભગવાન કોણ ? જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપના આધારે જે અનુભવમાં આવે છે તે દાદા ભગવાન છે. બાકી આ દેખાય છે, તે એ. એમ. પટેલ છે. કાલે એ પરપોટો ફૂટી જશે. આત્મા સૂક્ષ્મતમ છે ને દેહ સ્થૂળ છે, જેને લોક બાળી મૂકશે. સ્થૂળ સૂક્ષ્મને કેવી રીતે બાળે ? એવા જ દાદા ભગવાન તમારી અમારી બધાંની અંદર બિરાજેલા છે, જે ચૌદ લોકના નાથ છે ને તે તમે પોતે જ છો !!! - ડૉ. નીરુબહેન અમીન (પા.૧)આપ્તવાણી શ્રેણી - ૫આત્મા, આત્મધર્મમાં...દાદાશ્રી : આત્મા શું કાર્ય કરે છે ? પ્રશ્નકર્તા : આત્મા તો જ્ઞાતા-દ્રષ્ટા છે. દાદાશ્રી : પણ તમે તો કહો છો ને કે ‘હું સાંભળું છું.’ તમે આત્મા છો કે સાંભળનારા છો ? પ્રશ્નકર્તા : ‘હું આત્મા છું.’ દાદાશ્રી : પણ આત્મા તો સાંભળે નહીં, કાન જ સાંભળે ને ? પ્રશ્નકર્તા : પુદ્ગલનો ને આત્માનો સંયોગ થયો ને ? દાદાશ્રી : પણ આત્મા સાંભળતો હશે કે કાન ? પ્રશ્નકર્તા : સાંભળે છે આત્મા, કાન તો જડ છે. દાદાશ્રી : તો પછી બહેરાને બોલાવીને પૂછી જુઓ ને ? બહેરામાં આત્મા નથી ? તો કોણ સાંભળે છે ? પ્રશ્નકર્તા : આત્મા ના હોય તો પુદ્ગલની કોઈ ઈન્દ્રિય કામ કરે નહીં. દાદાશ્રી : હાજરીને લઈને તો આ જીવન કહેવાય છે, પણ સાંભળે છે કાન કે આત્મા ? જો આત્મા સાંભળતો હોય તો બહેરો માણસ સાંભળી શકે. તો કહો હવે કે ‘કોણ સાંભળે છે ?’ (પા.૨)પ્રશ્નકર્તા : કાન દ્વારા સંભળાય છે, પણ જો ચેતન તત્ત્વ હોય તો ! દાદાશ્રી : હવે ચેતન તત્ત્વ તો કોઈ દહાડોય કશું સાંભળતું જ નથી. એ તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે ! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતચારિત્ર એમાં છે ! તો શું સાંભળવાનો ગુણ આત્મામાં છે એવું તમારા માન્યામાં આવે છે ? આત્મા સાંભળતો જ નથી. આત્મામાં સાંભળવાનો ગુણ જ નથી. જેમ આ સોનાને કાટ ચઢવાનો ગુણ નથી, તેમ આત્મામાં સાંભળવાનો ગુણ નથી. બોલવાનોય ગુણ નથી. પ્રશ્નકર્તા : પણ ચૈતન્યતત્ત્વ હોય તો કાન સાંભળે ને ? દાદાશ્રી : ચૈતન્યતત્ત્વની હાજરીથી જ આ બધું જગત ચાલે છે. જો ચૈતન્યતત્ત્વ આ શરીરમાં ના હોય, આત્મા ના હોય તો આ શરીર ખલાસ થઈ જાય, પણ એ ચૈતન્યતત્ત્વ આ સાંભળતું નથી. પ્રશ્નકર્તા : તો કોણ સાંભળે છે, એ આપ સમજાવો. દાદાશ્રી : વાત તો સમજવી જ પડશે ને ? આત્મા જો સાંભળે છે એવું કહે તો આત્મા બોલે છે, મારા આત્માનો અવાજ બોલે છે એવું કહેવાય. લૌકિક ભાષામાં ગમે તેમ ચાલવા દેવાય, પણ ભગવાનની અલૌકિક ભાષામાં એ ‘એક્સેપ્ટ’ થશે નહીં. આ તમારી જોડે બોલે છે, તે કોણ બોલે છે ? પ્રશ્નકર્તા : આપ બોલો છો. દાદાશ્રી : ‘દાદા ભગવાન’ બોલે, તો આ ‘ટેપરેકોર્ડર’ પણ બોલે છે તે આ બે હજારમાં મળે એટલે ‘દાદા ભગવાન’ની કિંમત બે હજારની થઈ !!! પ્રશ્નકર્તા : આ બાબત આપ સમજાવો. દાદાશ્રી : આ ‘દાદા ભગવાન’ નથી બોલતા, આ તો ‘ઓરીજનલ (પા.૩)ટેપરેકોર્ડર’ બોલે છે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. ક્યાંય સાંભળવામાં ના આવી હોય એવી આ વાત છે ! એટલે આ સાંભળે છે તે કાનનો ધર્મ છે. બહેરો માણસ હોય તેને આપણે શું કહીએ કે કાન એના ધર્મમાં નથી. હવે આંખનો ધર્મ શું છે ? પ્રશ્નકર્તા : જોવાનો. દાદાશ્રી : હા, આત્માનો ધર્મ આવું જોવું એ નથી. નાકનો ધર્મ શું છે ? પ્રશ્નકર્તા : સૂંઘવું. દાદાશ્રી : જીભનો ધર્મ શું છે ? પ્રશ્નકર્તા : ચાખવું. દાદાશ્રી : એટલે ગમે તે કડવું જીભ ઉપર મૂકો કે તરત જ ખબર પડી જાય. એટલે આ પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. હવે એવી પાછી પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના ધર્મમાં છે. દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય બેઉ છે. દ્રવ્યેન્દ્રિય ખલાસ થઈ જાય તોય મહીં ભાવેન્દ્રિય રહે. એટલે પાંચ દ્રવ્યેન્દ્રિયો ને ભાવેન્દ્રિયો બધાં પોતપોતાના ધર્મમાં જ છે. મન પોતાના ધર્મમાં છે કે નહીં ? પ્રશ્નકર્તા : એ સમજાતું નથી. દાદાશ્રી : મન હંમેશાં વિચારે ચઢે. વિચારનાં ગૂંચળાં ચઢે ત્યારે આપણે એને મન કહીએ. મન બે જાતના વિચાર કરે. ખરાબ વિચાર કરે ને સારા વિચાર પણ કરે. એટલે બન્ને જાતના વિચારો કરવા એ મનનો ધર્મ છે અને વિચાર જ જો ના આવતા હોય તો એને ‘એબ્સંટ માઈન્ડેડ’ કહેવાય. હવે ગાંડાનેય ‘માઈન્ડ’ હોય, પણ ‘એબ્સંટ માઈન્ડેડ’ એટલે તો જીવ યોનિમાંથી નકામો થઈ ગયો કહેવાય. (પા.૪)હવે અહીંથી સુરેન્દ્રનગર તમારું ઘર તમને દેખાય ખરું કે નહીં ? પ્રશ્નકર્તા : હા, દેખાય. દાદાશ્રી : અને ઘરમાં ટેબલ ખુરશી બધું દેખાય કે ? પ્રશ્નકર્તા : હા, દેખાય. દાદાશ્રી : એ મનનો ધર્મ નથી. આપણા લોકોને સમજણ નહીં હોવાથી એને મન માને છે. હવે વાસ્તવિકમાં આ મન જતું નથી, પણ ચિત્ત જાય છે. મન શરીરની બહાર નીકળી શકે જ નહીં. બહાર જે ભટકે છે તે ચિત્ત છે. પ્રશ્નકર્તા : ચિત્ત અને મન, એ બે અલગ અલગ છે ? દાદાશ્રી : હા, ચિત્ત ને મન બે અલગ અલગ જ છે. લૌકિક ભાષામાં ગમે તે બોલાય, પણ ભગવાનની ભાષા લોકોત્તર ભાષા છે. તે જ્યાં સુધી આપણે ના સમજીએ ત્યાં સુધી કોઈ દા’ડોય મોક્ષ થાય નહીં. એટલે ચિત્ત બહાર ભટકે છે. અહીં રહ્યાં રહ્યાં ચિત્ત તમારું ઘર, ટેબલ, ઘડિયાળ બધું જોઈ લે અને મનનો સ્વભાવ એકલું વિચાર કરવાનો જ છે. મન સારું-ખોટું વિચારે ને સારું જોવું, ખોટું જોવું એ ચિત્તનો ધર્મ છે. પ્રશ્નકર્તા : ચિત્તને જડ કહેવું કે ચેતન કહેવું ? દાદાશ્રી : એ મિશ્રચેતન છે, એ ખરેખર શુદ્ધ ચેતન નથી અને મન તો બિલકુલ જડ છે. હવે બુદ્ધિ એના ધર્મમાં છે. બુદ્ધિનું કામ શું છે કે નફો ને ખોટ દેખાડે. તમે ગાડીમાં બેસો કે તરત બુદ્ધિ દેખાડે કે પેલી જગ્યા સારી છે, અને દુકાનમાં પેસો ત્યાંય નફો-ખોટ દેખાડે. મને બુદ્ધિ નફો-ખોટ નથી દેખાડતી, કારણ કે મારામાં બુદ્ધિ નથી, (પા.૫)તે બહુ જૂજ, નહીં જેવી જ બુદ્ધિ કહેવાય. ૩૬૦ ડિગ્રીએ સંપૂર્ણ ભગવાન કહેવાય ને આ ‘પટેલ’ ૩૫૬ ડિગ્રી પર છે. એમનામાં ચાર ડિગ્રી ઓછી છે. એટલે એ જુદા પડ્યા, નહિ તો ‘આ’ પણ ‘મહાવીર’ જ કહેવાત ! એટલે આ બુદ્ધિનો ધર્મ નફો-ખોટ દેખાડે તે છે. ગાડીમાં, કોઈનો સોદો કરે તેમાં કે કઢીની તપેલી ઢળી ગઈ, તો તરત બુદ્ધિ એનો ધર્મ બજાવે કે ના બજાવે ? પ્રશ્નકર્તા : બજાવે. દાદાશ્રી : હવે બુદ્ધિનો આ સિવાયનો બીજો પણ એક ધર્મ છે, તે શું છે કે બુદ્ધિ ‘ડીસીઝન’ લે છે. જો કે ‘ડીસીઝન’ લેવાનો બુદ્ધિનો સ્વતંત્ર ધર્મ નથી. બુદ્ધિ ‘ડીસાઈડ’ કરે, એના પર અહંકાર સહી કરે તો જ એ પૂરું થાય. અહંકારની સહી વગર ‘ડીસીઝન’ રૂપકમાં આવે જ નહીં. એટલે આ અંતઃકરણમાં ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિ છે. એના ચાર ‘મેમ્બરો’ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. જો મન અને બુદ્ધિ એક થયાં તો અહંકારને સહી કરવી જ પડે. ચિત્ત અને બુદ્ધિ એક થઈ ગયાં તો ય અહંકારને સહી કરી આપવી પડે. એટલે જેના પક્ષમાં ત્રણ થયાં એની વાત માન્ય થાય. આ સંપૂર્ણ તત્ત્વજ્ઞાનની વાતો છે. પણ તે તમને તમારી બુદ્ધિથી સમજાવું જોઈએ. તમને જ્ઞાન તો નથી ને ? પ્રશ્નકર્તા : જ્ઞાન તો છે ને ! દાદાશ્રી : શેને તમે જ્ઞાન કહો છો ? પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સમજ. દાદાશ્રી : જ્ઞાન એટલે સમજ નહીં. જ્ઞાન એટલે પ્રકાશ. જો પ્રકાશ તમને હોય તો ઠોકર ના વાગે. પ્યાલા ફૂટી જાય કે ગમે તે થાય તો આપણને અસર ના થાય. તમને અસર થાય છે ? (પા.૬)પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : તો એ પ્રકાશ નથી. આ તો બધું અંધારું છે. હવે અહંકારનો શો ધર્મ છે ? પ્રશ્નકર્તા : અહમ્ભાવ રાખવો તે. દાદાશ્રી : ના. જ્યાં જુએ ત્યાં અહમ્ ‘મેં કર્યું’ કરે. બસ ! અહંકાર, ખાલી અહંકાર જ કરે છે કે ‘મેં કર્યું, મેં ભોગવ્યું !’ આ કેરી ખાધી તે વિષય જીભ ભોગવે છે, બુદ્ધિ ભોગવે છે કે અહંકાર ભોગવે છે ? પ્રશ્નકર્તા : અહંકાર ભોગવે છે. દાદાશ્રી : હવે જીભ સ્વાદ લે છે ને અહંકાર ખાલી કહે છે કે ‘મેં આવું કર્યું !’ આત્મામાં અહંકાર નામની વસ્તુ જ નથી, પણ આ ઊભી થયેલી છે. ને પોતપોતાના ધર્મમાં જ છે પાછી ! અહંકાર કરવાની જગ્યાએ નિરંતર અહંકાર કર્યા જ કરે છે. કોઈ અહંકાર ઉપર ઘા કરે, અપમાન કરે તો તરત અહંકાર ભગ્ન થાય કે ના થાય ? માન-અપમાન બન્નેની અસર થાય છે ને ? એટલે અહંકાર, અહંકારના ધર્મમાં છે. એટલે કાન કાનના ધર્મમાં છે, આંખ આંખના ધર્મમાં છે, નાક નાકના ધર્મમાં છે, સહુ સહુના ધર્મમાં છે. હવે મહાવીર ભગવાનને પણ આંખ, કાન, નાક બધાં સહુ સહુના ધર્મમાં હતાં. તેમનું પણ મન મનના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં હતા. તેમને બુદ્ધિ અને અહંકાર ખલાસ થઈ ગયેલાં. તમારેય સહુ સહુના ધર્મમાં છે. ‘આત્મા’ એકલો જ એના ધર્મમાં નથી. ‘આત્મા’ એના ધર્મમાં આવે તો બુદ્ધિ ને અહંકાર ખલાસ થાય. એનું કારણ તમને સમજાવું. આત્મા અને બુદ્ધિમાં ફેર ખરો કે નહીં ? આત્મા એ પ્રકાશ છે અને બુદ્ધિ પણ પ્રકાશ છે. બુદ્ધિ એ ‘ઈનડાયરેક્ટ’ પ્રકાશ છે, ને આત્મા તો ‘ડાયરેક્ટ’ પ્રકાશ છે. ‘ઈનડાયરેક્ટ’ પ્રકાશ એટલે સૂર્યનું અજવાળું અરીસા ઉપર પડ્યું ને અરીસામાંથી પ્રકાશ રસોડામાં ગયો. આ (પા.૭)‘ઈનડાયરેક્ટ’ પ્રકાશ થયો. એવી રીતે આત્માનો પ્રકાશ અહંકાર ઉપર પડે છે અને ત્યાંથી બહાર નીકળે છે તે બુદ્ધિ થઈ. અરીસાની જગ્યાએ અહંકાર છે ને સૂર્યની જગ્યાએ આત્મા છે. આત્મા મૂળ પ્રકાશવાન છે. સંપૂર્ણ સ્વ-પર પ્રકાશક છે. તે પરને પ્રકાશે ને પોતાને પણ પ્રકાશે. આત્મા બધાં જ જ્ઞેયોને પ્રકાશ કરે. એટલે અહંકારના ‘મીડિયમ’થી બુદ્ધિ ઊભી થઈ છે. અહંકારનું ‘મીડિયમ’ ખલાસ થઈ જાય, તો બુદ્ધિ રહે નહીં. પછી ‘ડાયરેક્ટ’ પ્રકાશ આવે. મને ‘ડાયરેક્ટ’ પ્રકાશ મળે છે. તમારે હવે કરવાનું શું બાકી રહ્યું ? અહંકાર ને બુદ્ધિને ખલાસ કરવાની રહી. હવે એ ખલાસ શી રીતે થાય ? ‘આત્મા’ પોતાના ધર્મમાં આવે તો એ બન્ને નીકળી જાય. બીજા બધાં તો પોતપોતાના ધર્મમાં જ છે, બીજો કશો ફેરફાર કરવાની જરૂર નથી. હવે ‘આત્મા’ને પોતાના ધર્મમાં લાવવા માટે શું કરશો ? એના માટે શું સાધન જોઈએ ? પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ ઓછા થવા જોઈએ. દાદાશ્રી : આ વીંટી છે. એની મહીં તાંબાનું મિક્ષ્ચર છે. હવે આપણે ગમે તેને કહીએ કે આમાંથી સોનું ને તાંબું જુદું કરી આપો, તો તે કરી આપે ખરો ? પ્રશ્નકર્તા : ના કરી શકે. દાદાશ્રી : કેમ એમ ? પ્રશ્નકર્તા : એ તો સોનીનું જ કામ. દાદાશ્રી : બીજાં બધાં ના પાડે કે આ ન હોય અમારું કામ. એટલે આત્મા જો જાણવો હોય તો આત્માના જાણકાર હોવા જોઈએ. પ્રશ્નકર્તા : ‘સત્ પુરુષ’ રૂપી સોની હોવો જોઈએ. દાદાશ્રી : ના, સત્ પુરુષ તો ‘આ’ બધાય મહાત્માઓને કહેવાય છે. સત્ પુરુષ કોને કહેવાય કે સત્ જેણે પ્રાપ્ત કર્યું અને પુરુષાર્થ ધર્મમાં (પા.૮)આવ્યો તે. સત્ એટલે અવિનાશી. સત્ પુરુષોએ પોતાનું અવિનાશી પદ પ્રાપ્ત કર્યું હોય. ‘હું આત્મા છું’ એવી પ્રતીતિ, જાગૃતિ આવી હોય. પણ તે સત્ પુરુષ જ કહેવાય, ‘જ્ઞાની પુરુષ’ ના કહેવાય. ‘ક્રમિક’માં સત્ પુરુષને ત્યાગાત્યાગ સંભવે, જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ સંભવે નહીં ! ‘જ્ઞાની પુરુષ’ તો બીજાને મોક્ષનું દાન આપે ! બીજાને જ્ઞાનમય બનાવે !! શ્રીમદ્ રાજચંદ્રે ‘જ્ઞાની’ને મોક્ષદાતા પુરુષ કહ્યા. ‘આ’ બધાં મોક્ષમાં રહે ખરાં, પણ બીજાને મોક્ષ આપી ના શકે. એમને આત્માનાં પ્રતીતિ ને લક્ષ જ બેઠેલાં હોય. આત્માનું અસ્પષ્ટ વેદન એમને હોય. આમાં તો આત્માનું સ્પષ્ટ વેદન જેને છે એવા ‘જ્ઞાની પુરુષ’ જોઈએ. એમને જ્યાં ને ત્યાં આત્મા સિવાય બીજું કશું દેખાતું જ ના હોય. એમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ ના હોય. ગજવું કાપનારોય દોષિત ના દેખાય ને દાન આપનારોય દોષિત ના દેખાય. છતાં તમે મને એમ પૂછો કે એ બે સરખા કહેવાય ? ત્યારે હું કહું કે, આ દાન આપનારો છે તે જે ક્રિયા કરી રહ્યો છે, તેનું ફળ એ ભોગવશે અને જે ગજવું કાપે છે તે જે ક્રિયા કરી રહ્યો છે, તેનું ફળ એ ભોગવશે. બાકી દોષિત કોઈ નથી. પ્રશ્નકર્તા : દોષિત કેમ ના કહેવાય ? દાદાશ્રી : એ બધા સંજોગ અનુસાર કરે છે. સારું કરનારોય સંજોગાનુસાર કરે છે અને ખરાબ કરનારોય સંજોગ અનુસાર કરે છે. હવે આત્માને આત્મધર્મમાં લાવવા માટે મોક્ષદાતા પુરુષ જોઈશે. કૃપાળુદેવે એમના આખા પુસ્તકનો સાર કહ્યો છે કે, ‘બીજું કાંઈ શોધ મા, માત્ર એક સત્ પુરુષને ખોળી તેમના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.’ એટલે આપણને જો મોક્ષ ના મળે તો તે ‘જ્ઞાની પુરુષ’ નથી. પ્રશ્નકર્તા : આત્મા પોતાના ધર્મમાં આવ્યો, તેની ખાતરી શી ? દાદાશ્રી : આ બધું ‘હું કરું છું’ ને આ ‘હું છું’ એ રોંગ બિલીફો (પા.૯)પડેલી છે તે જાય. અત્યારે તો તમને ‘હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો ફાધર થાઉં, આનો મામો થાઉં, સીંગનો વેપારી છું’, આવી કેટલી બધી ‘રોંગ બિલીફો’ તમને બેઠી હશે ? પ્રશ્નકર્તા : અસંખ્યાત. દાદાશ્રી : હવે આટલી બધી ‘રોંગ બિલીફો’ ક્યારે જાય ? આત્મા પોતાના ગુણધર્મમાં આવે તો આ બધીય ‘રોંગ બિલીફો’ જાય. ‘રોંગ બિલીફો’ ઊડે ને ‘રાઈટ બિલીફ’ બેસી જાય. ‘રાઈટ બિલીફ’ ને સમ્યક્દર્શન કહે છે. ‘જ્ઞાની પુરુષ’ આત્માને પોતાના ધર્મમાં લાવી દે એટલે બીજું બધું તો પોતપોતાના ધર્મમાં છે જ. જ્યારે તમને તમારા આત્મધર્મમાં આવવાની ઇચ્છા થાય ત્યારે અહીં આવજો. ‘અમે’ તેને ધર્મમાં લાવી દઈશું. આત્મા પોતાના ધર્મમાં આવે. એટલે બીજું બધું છૂટે. ચાર વેદ શું કહે છે ? ‘ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ !’ તું જે આત્મા ખોળે છે તે વેદમાં નથી. ‘ગો ટુ જ્ઞાની.’ આત્મા પુસ્તકમાં ઊતરે એવો નથી, કારણ કે આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવ્યક્તવ્ય છે. એ શાસ્ત્રમાં શી રીતે ઊતરે ? શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે જ્ઞાન જ્ઞાની પાસે છે અને તે સિવાય આપણો છૂટકારો કોઈ કાળે થાય નહીં. એટલે ‘જ્ઞાની’ની જ એમાં જરૂર. ચોવીસ તીર્થંકરો કહેતા આવ્યા છે કે આત્મજ્ઞાન માટે નિમિત્તની જરૂર છે. ‘જ્ઞાની’ કર્તા હોય નહીં. હું જો કર્તા હોઉં, તો મને કર્મ બંધાય અને તમે નિમિત્ત માનો તો તમને પૂરેપૂરો લાભ ના થાય. મારે ‘હું નિમિત્ત છું’ એમ માનવાનું ને તમારે ‘જ્ઞાનીથી થયું’ એમ વિનય રાખવાનો ! સૌ સૌની ભાષા જુદી હોય ને ? પરમ વિનયથી મોક્ષ છે. આત્મા પ્રાપ્ત થઈ ગયો, પોતાના સ્વભાવમાં આવી ગયો, જાગૃત થઈ ગયો, પોતાના ધર્મમાં આવી ગયો, પછી શું બાકી રહે ? બીજું બધું તો ધર્મમાં છે જ. આત્મા એકલો જ ધર્મમાં નહોતો. (પા.૧૦)પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી દાદા, આ શરત દરેકને કબૂલ થઈ જાય છે ? દાદાશ્રી : જ્ઞાન મળ્યા પછી તો એની મેળે કબૂલ થાય જ ને ? જ્ઞાન મળતાં પહેલાં એકેયને કબૂલ ના થાય. પછી શાથી કબૂલ થાય છે તે તમને સમજાવું. આ જલેબી ખવડાવ્યા પછી ચા પીવડાવે તો તેમાં શું ફેર પડે ? પ્રશ્નકર્તા : ચાનો સ્વાદ મોળો લાગે. દાદાશ્રી : તે આ હું તમને આત્મા પોતાના સ્વભાવમાં, એટલે કે તેને પોતાના ગુણધર્મમાં લાવી આપું છું. એટલે આ બીજા બધા વિષયો મોળા લાગવાથી આસક્તિ ઊડી જાય છે. હવે પહેલેથી જો તમને આસક્તિ ઊડાડવાની કહે તો ? પ્રશ્નકર્તા : તો અહીં કોઈ આવે જ નહીં. દાદાશ્રી : એટલે પહેલું આત્માને આત્મધર્મમાં લાવવો જોઈએ. અક્રમમાં પહેલું આ છે. જ્યારે ક્રમિકમાં પહેલી આસક્તિ કાઢવાની છે. પ્રશ્નકર્તા : એટલે અધર્મ કાઢવો જોઈએ ? દાદાશ્રી : અધર્મ શબ્દની આપણને જરૂર નથી. અધર્મ શું છે ? ધર્મની સામેનો શબ્દ છે. ખોટું કરવું એનું નામ અધર્મ અને સારું કરવું એનું નામ ધર્મ. પણ બેઉ કર્તાભાવમાં છે અને આ આત્માનો તો સ્વાભાવિક ધર્મ છે, સહજ ધર્મ છે. હવે આત્મા પોતાના ધર્મમાં આવે તો પછી આ પૈણેલી સ્ત્રી હોય, તેનું શું થાય ? તેને કંઈ કાઢી મૂકાય ? પ્રશ્નકર્તા : ના, પણ એના પરની આસક્તિ ઓછી કરવી પડે. દાદાશ્રી : તેના માટે પાછું કર્તા થવું પડે. પ્રશ્નકર્તા : તો એ સમજાવો. દાદાશ્રી : આત્મધર્મમાં આવ્યા બાદ ‘બાય રિલેટિવ વ્યુપોઈન્ટ’, ‘તમે ચંદુભાઈ છો, આ બાઈના ધણી છો, આ છોકરાના ફાધર છો.’ (પા.૧૧)અને ‘બાય રિયલ વ્યુપોઈન્ટ’થી તમે શુદ્ધાત્મા છો. ‘ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઓલ.’ જો પરમાત્માએ ‘પઝલ’ કર્યું હોત તો તેમને અહીં બોલાવવા પડત ને દંડ દેવો પડત કે તમે આ લોકોને શા માટે ગૂંચવ્યા? માટે ભગવાને આ જગત ગૂંચવ્યું નથી. ‘હું આત્મા છું, હું આત્મા છું’ એમ શબ્દ બોલ્યે કશું વળે નહીં. એ તો ભગવાનની કૃપા ઉતારવી પડે, ત્યાર પછી જ તમે મોક્ષગામી થાઓ. હવે અહીં મોક્ષગામી એટલે શું ? આ ભવમાં સીધો મોક્ષ નથી. પણ અહીં આગળ અજ્ઞાનમુક્તિ થાય છે. બે પ્રકારની મુક્તિ : પહેલી અજ્ઞાનમુક્તિ એટલે આત્મા આત્મસ્વભાવમાં આવી ગયો તે ! બીજું છે તે સંપૂર્ણ દેહમુક્તિ, સિદ્ધગતિ મળે તે ! અહીંથી એકાવતારી થઈ શકાય છે ! અજ્ઞાનમુક્તિ થાય એનાથી ફાયદો શું થાય ? સંસારી દુઃખોનો અભાવ રહ્યા કરે ! મનુષ્યો શું ખોળે છે ? પ્રશ્નકર્તા : દુઃખનો અભાવ. દાદાશ્રી : આત્મા સ્વભાવે સુખિયો જ છે ને પછી દુઃખનો અભાવ થયો, પછી રહ્યું શું ? પ્રશ્નકર્તા : આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશેને ? દાદાશ્રી : ચાવીઓ-બાવીઓ કશુંયે ના હોય ! જ્ઞાની પાસે જઈને કહી દેવાનું કે ‘સાહેબ ! હું અક્કલ વગરનો સાવ મૂરખ છું ! અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો આત્મા મેં જાણ્યો નથી ! માટે આપ કંઈક કૃપા કરો અને મારું આટલું કામ કાઢી આપો !’ બસ આટલું જ કરવાનું છે. ‘જ્ઞાની પુરુષ’ તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે. અને પછી લોકો પાછા બૂમો પાડે કે વ્યવહારનું શું થાય ? આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો તે બધો વ્યવહાર. અને વ્યવહારનુંય ‘જ્ઞાની (પા.૧૨)પુરુષ’ પાછું જ્ઞાન આપે. પાંચ આજ્ઞા આપે, કે ‘આ પાંચ આજ્ઞા મારી પાળજે. જા, તારો વ્યવહારેય શુદ્ધ અને નિશ્ચયેય શુદ્ધ. જોખમદારી બધી અમારી. મોક્ષ અહીંથી વર્તવો જોઈએ. અહીંથી જ ના વર્તે તે સાચો મોક્ષ નથી. મને ભેગા થયા પછી જો અહીંથી મોક્ષ ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી અને મોક્ષેય સાચો નથી. મોક્ષ અહીં જ, આ પાંચમા આરામાં વર્તાવો જોઈએ, અહીં જ આ કોટ-ટોપી સાથે ! ત્યાં તો વર્ત્યાનું શું ઠેકાણું ? પ્રશ્નકર્તા : શું આત્માના જુદા જુદા પ્રકાર હોય ? દાદાશ્રી : ના, આત્મા એક જ પ્રકારનો હોય. પ્રશ્નકર્તા : તો આત્માને રાગ-દ્વેષ લાગે ? દાદાશ્રી : ના. આત્માને રાગ-દ્વેષ લાગે નહીં. આ તો વિભાવ ઉત્પન્ન થાય છે. જે પોતાનામાં ગુણ નથી, તે વિભાવ કહેવાય. આત્મા પોતે સ્વભાવે કરીને વીતરાગ જ છે. એનામાં રાગ-દ્વેષનો ગુણ જ નથી. આ તો ભ્રાંતિથી એવું લાગે છે. પ્રશ્નકર્તા : આ જે જન્મ-મરણની ઘટમાળ ચાલે છે, તે આત્મા પર અસર થવાથી ‘કોઝિઝ’ થાય છે એ ખરું ? દાદાશ્રી : ના, ના. આત્મા ઉપર અસર થતી જ નથી. આત્માનો સ્વભાવ બદલાતો જ નથી. એને ખાલી ‘રોંગ બિલીફ’ જ બેસે છે. પ્રશ્નકર્તા : ‘રોંગ બિલીફ’ કેવી રીતે બેસી ગઈ ? દાદાશ્રી : પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું એટલે આ લોકોએ બીજું ભાન બેસાડ્યું ને એ જ્ઞાન ફીટ થઈ ગયું. એટલે લોકો કહે એ પ્રમાણે એને શ્રદ્ધા બેસી ગઈ કે ખરેખર ‘હું ચંદુભાઈ છું’ અને આ બધા લોકોય ‘એક્સેપ્ટ’ કરે છે. એમ કરતાં કરતાં ‘બિલીફ’ કોઈ રીતે ‘ફ્રેકચર’ થતી નથી. આત્મામાં કશો ફેરફાર થતો નથી. આત્મા તો સો ટચનું સોનું જ રહે છે. સોનામાં તાંબાનો ભેળસેળ થાય, તેથી કંઈ સોનું બગડી જતું નથી ! (પા.૧૩)દ્રષ્ટિ - મિથ્યા ને સમ્યક્ !દાદાશ્રી : આ ઊંધી દ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, તેથી આ દુઃખો ઉત્પન્ન થયાં છે. અને સમકિત એટલે સવળી દ્રષ્ટિ. કોઈ દહાડો તમારી સવળી દ્રષ્ટિ થયેલી કે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આખો સંસારકાળ ફરી વળ્યા, છતાં એક ક્ષણ પણ સવળી દ્રષ્ટિ થઈ નથી. શું નામ છે તમારું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ‘તમે ચંદુભાઈ છો.’ એ સાચી વાત છે ? પ્રશ્નકર્તા : મિથ્યાત્વ લાગે છે, અહમ્પદ લાગે છે. દાદાશ્રી : તો પછી તમે કોણ છો ? પ્રશ્નકર્તા : એ ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : તો અત્યાર સુધી કેમ એ જાણ્યું નહીં ? પ્રશ્નકર્તા : હંમેશાં એ જ મૂંઝવણ થતી હતી કે ‘હું કોણ છું ?’ પણ એની ખબર પડતી ન હતી. દાદાશ્રી : ‘હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આનો ફાધર થાઉં, આનો મામો, કાકો’, એ બધી ‘રોંગ બિલીફો’ છે. એ ‘રોંગ બિલીફો’ જ્ઞાની પુરુષ ‘ફ્રેકચર’ કરી આપે અને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે. એટલે આપણને સમકિત દ્રષ્ટિ મળી કહેવાય. વિપરીત જ્ઞાન-સમ્યક્ જ્ઞાનપહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. હવે સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન છે. એ ‘પોતાનું’ છે એનાથી સ્વતંત્ર થવાય. પેલું ય જ્ઞાન છે એટલે જાણવાનો ‘ટેસ્ટ’ આવે, પણ (પા.૧૪)એ પરાવલંબી છે, કોઈનું અવલંબન લેવું પડે. અને સમ્યક્ જ્ઞાન પોતાને સ્વસુખ આપનારું છે, સ્વાવલંબનવાળું ને સ્વતંત્ર બનાવનારું છે. પ્રશ્નકર્તા : જ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને ? આત્મા એ જ જ્ઞાન છે. તો પછી વિપરીત જ્ઞાન ને આ જ્ઞાન જુદાં જુદાં કેમ હોઈ શકે ? દાદાશ્રી : વિપરીત એટલે જરૂરિયાત નથી, તે જ્ઞાનમાં પડ્યા. પ્રશ્નકર્તા : પણ એને જ્ઞાન કહેવાય ? દાદાશ્રી : જ્ઞાન જ કહેવાય ને ? અજ્ઞાન શા આધારે કહ્યું ? કે ‘આ હિતાકારી નથી’, માટે અજ્ઞાન કહ્યું. પ્રશ્નકર્તા : એટલે એને અજ્ઞાન જ કહેવાય ને ? જ્ઞાન કહેવાય નહીં ને ? દાદાશ્રી : જગતની દ્રષ્ટિએ તો બધું જ્ઞાન જ છે ને ? સાંસારિક જે બધું જાણવાનો પ્રયત્ન છે તે મિથ્યા જ્ઞાન છે. ઊંધી શ્રદ્ધા બેઠી એટલે ઊંધું જ્ઞાન ઉત્પન્ન થાય ને ઊંધું ચારિત્ર ઊભું થાય. એનો સ્વાદેય પડે ને એનો મારેય પડે. એ રાગ-દ્વેષવાળું જ્ઞાન છે અને આ વીતરાગી જ્ઞાન છે. આ જાણવા-જોવા સાથે વીતરાગતા રહે. ને પેલું જાણતાં ને જોતાંની સાથે જ રાગ-દ્વેષ થાય. દ્રવ્યચોર - ભાવચોરમન એ આગલા અવતારનો સંકુચિત ફોટો છે. એક માણસ ‘ઓફિસર’ હોય છે. તેની ‘વાઈફ’ તેને કહે કે તમે લાંચ લેતા નથી. આ બીજા બધા લે છે ને તેમણે બંગલા બંધાવ્યા. તે આવું બહુ વખત થાય એટલે એ મનમાં નક્કી કરે કે બળ્યું, આપણે પણ લો હવેથી ! પણ લાંચ લેવા જાય તે પહેલાં તે ધ્રૂજી જાય, ને લેવાય નહીં. મન ખાલી નક્કી કરે કે હવેથી લો. એટલે એણે ભાવ બદલ્યો, પણ (પા.૧૫)તેનાથી આખી જિંદગી લેવાય નહીં. કારણ કે પહેલાંનાં આધારે મન છે. મન એ ગતજ્ઞાનનું ફળ છે. હવે અત્યારે નવું જ્ઞાન ઊભું કર્યું કે લાંચ લેવી જોઈએ. તે હવે એને આવતે ભવ લાંચ લેવા દેશે. બીજો ઓફિસર હોય તે આ ભવે લાંચ લેતો હોય, પણ મનમાં એને એવા ભાવ થયા કરે કે, ‘આ લાંચ લેવાય છે તે ખોટું છે. આવું ક્યાં લેવાય છે ?’ તેનાથી આવતા ભવે ના લેવાય. અને એક પૈસો નથી લેતો છતાં લેવાના ભાવ છે. એને ભગવાન પકડે છે. એ આવતા ભવે ચોર થશે ને સંસાર વધારશે. પ્રશ્નકર્તા : અને જે પસ્તાવો કરે છે એ છૂટી રહ્યો કહેવાય ? દાદાશ્રી : હા, એ છૂટે છે. એટલે ત્યાં કુદરતને ઘેર ન્યાય જુદી જાતનો છે. આ જેવું દેખાય છે એવું ત્યાં નથી, એ આપની સમજમાં વાત આવે છે ? પ્રશ્નકર્તા : એટલે ભાવ પણ કાઢવો જોઈએ એમ ? દાદાશ્રી : ભાવ જ કાઢી નાખવાનો છે. ભાવની જ ભાંજગડ છે, આ વસ્તુની ભાંજગડ નથી. ભગવાનને ત્યાં શું હકીકત બની એની ભાંજગડ નથી. ભાવ એ ‘ચાર્જ’ છે અને હકીકત બને છે એ ‘ડિસ્ચાર્જ’ છે. પ્રશ્નકર્તા : ‘અક્રમ જ્ઞાન’માં ભાવનું શું સ્થાન છે ? દાદાશ્રી : અક્રમમાં તો ભાવેય નહીં ને અભાવેય નહીં. એ બેનાથી દૂર થઈ ગયા. ભાવ અને અભાવથી સંસાર ઊભો થાય, ‘રિલેટિવ ડિપાર્ટમેન્ટ’ ઊભું થાય. ‘અક્રમ વિજ્ઞાન’થી ભાવ-અભાવ ઊડી જાય છે, એટલે નવું ‘ચાર્જ’ થવાનું બંધ થઈ જાય છે અને જે ‘ચાર્જ’ કર્યું હતું તે ‘ડિસ્ચાર્જ’ થવાનું રહે છે. એટલે કે ‘કોઝ’ બંધ થઈ ગયાં અને ‘ઇફેક્ટ’ બાકી રહે છે. ‘ઇફેક્ટ’ એ પરિણામ છે. જગત આખું પરિણામમાં જ કકળાટ કરી રહ્યું છે. નાપાસ થાય તેનો કકળાટ ના હોવો જોઈએ. વાંચતી વખતે આપણો કકળાટ હોવો (પા.૧૬)જોઈએ, કે ભાઈ વાંચ, વાંચ ! એને ટકોર કરો, વઢો પણ નાપાસ થયા પછી તો એને કહીએ કે બેસ ભઈ, જમી લે ! સૂરસાગરમાં ડૂબવા ના જઈશ ! પ્રશ્નકર્તા : કઈ ભૂલના આધારે આવા ભાવ થઈ જાય છે ? દા.ત. લાંચ લેવાનો ભાવ થવો. દાદાશ્રી : એ તો એના જ્ઞાનની ભૂલ છે. ખરું જ્ઞાન શું છે, એનું એને ‘ડિસિઝન’ નથી. અજ્ઞાનતાને લઈને ભાવ થાય છે. કારણ કે એને એમ લાગે છે કે આ દુનિયામાં આવું નહીં કરું, તો મારી દશા શી થશે ? એટલે એને પોતાના જ્ઞાન ઉપરેય નિશ્ચય તૂટી ગયો છે. પોતાનું જ્ઞાન ખોટું છે એવું એ જાણે છે. હવે, આ જ્ઞાન, એ મોક્ષનું જ્ઞાન નથી. આ વ્યવહારનું જ્ઞાન છે. અને ‘ટેમ્પરરી’ રૂપે જ હોય છે કે જે સંજોગવશાત્ નિરંતર બદલાયા જ કરે. સંસારપ્રવાહજીવમાત્ર પ્રવાહ રૂપે છે. જેમ આ નર્મદાજીનાં પાણી વહ્યા કરે છે, તેમાં આપણે કશું કરતા નથી. વહેણ જ આપણને આગળ તેડી લાવે છે. ગયા અવતારમાં નવમા માઈલમાં હોય, ત્યાં સરસ સરસ આંબાનાં ઝાડ, કેરીઓ, બદામ, દ્રાક્ષ બધું જોયેલું હોય. સરસ બગીચા જોયેલા હોય. હવે આજે આ અવતારમાં દસમા માઈલમાં આવ્યો, ત્યારે બધું રણ જેવું મળ્યું. એટલે પેલું નવમા માઈલનું જ્ઞાન એને કૈડ્યા કરે. ત્યાં કેરીઓ માંગે, દ્રાક્ષ માંગે, પણ કશાનું ઠેકાણું ના પડે. એવું આ આગળ આગળ વહ્યા જ કરે છે ! આ બધું નિયતિનું કામ છે, પણ નિયતિ ‘વન ઓફ ધી ફેક્ટર્સ’ તરીકે છે, પોતે કર્તા તરીકે નહીં. કર્તા તરીકે આ જગતમાં કોઈ ચીજ નથી. તેમ કર્તા વગર આ જગત થયું નથી. પણ તે નૈમિત્તિક કર્તા છે. સ્વતંત્ર કર્તા કોઈ નથી. સ્વતંત્ર કર્તા હોય તો બંધનમાં આવે, નૈમિત્તિક કર્તા બંધનમાં આવે નહીં. પ્રશ્નકર્તા : એટલે નૈમિત્તિક કર્તામાં જે કર્તા હોય, એ એમ માને કે હું નિમિત્ત છું ? (પા.૧૭)દાદાશ્રી : હા, એ તો પોતાની જાતને જ ખ્યાલ હોય કે ‘હું નિમિત્ત છું.’ મને લોકો એમ કહે કે ‘દાદા તમે આમ કર્યું ને તમે તેમ કર્યું.’ પણ હું તો જાણું ને કે આમાં હું તો નિમિત્ત છું ! કર્તા થાય તેને કર્મ બંધાય. તમે કોઈ પણ વસ્તુના કર્તા થાઓ છો ખરા ? પ્રશ્નકર્તા : સવારથી સાંજ સુધી કર્તા જ થઈએ છીએ. દાદાશ્રી : હવે તમે કર્તા છો કે નહીં, તેની તમને ખાતરી જોવી છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તમે, ‘રાત્રે દસ વાગ્યે ઊંઘી જવાનું અને છ વાગ્યે ઊઠવાનું છે.’ એમ બોલો છો, પછી ત્યાં આગળ પલંગમાં સૂઇને માથે ઓઢીને તમે શું શું યોજના ઘડતા હો ? પછી એકાએક વિચાર આવે કે ફલાણાને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા, તેનું આજે ખાતું પડાવવાનું રહી ગયું હતું. તે પછી તમને ઊંઘ આવે ખરી ? જો ઊંઘ પોતાના હાથમાં નથી, તો બીજી કઈ વસ્તુ પોતાના હાથમાં છે ? વહેલું ઊઠવું હોય તો પેલી ઘંટડી મૂકવી પડે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તેય પોતાના હાથમાં નથી ! સંડાસ જવાનુંય પોતાના હાથમાં નથી. કશું જ આપણા હાથમાં નથી. આ તો કુદરતી રીતે એની મેળે ચાલ્યા કરે છે. તેને આપણે ‘એડજસ્ટ’ થઈ જઈએ છીએ કે ‘હું આ કરું છું.’ આ દરેક વસ્તુ બીજી શક્તિના આધીન ચાલે છે. ઇશ્વરેય કર્તા નથી અને તમે પણ આના કર્તા નથી. આના કર્તા તમે છો, એવું માનો છો એ જ છે તો આવતા ભવનું બીજ છે. એક દહાડો આ બધું સમજવું તો પડશે જ ને ? એટલે પેલા અખાએ કહ્યું છે કે, ‘‘કર્તા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ ’’, ‘‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.’’ (પા.૧૮)કોઈ જીવને કરવાની શક્તિ છે જ નહીં, આ કર્તા શેના થઈ બેઠા છે ? ખરેખર તો સ્વપરિણામના કર્તા છે. હવે પરપરિણામના કર્તા કોઈ હોઈ શકે ખરા ? આ જન્મ્યા તે મરણ સુધી બધું ફરજિયાત છે, અને તે પરપરિણામ સ્વરૂપ છે ! એના આપણે કર્તા માનીએ છીએ એટલે આવતા ભવનું બીજ પડે છે. વ્યવહાર આત્મા : નિશ્ચય આત્માઅજ્ઞાનતામાં આત્મા (વ્યવહાર-આત્મા) અનૌપચારિક વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનૌપચારિક વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો, એવા વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અને સ્વરૂપનું ભાન થયે કાયમ સ્વપરિણામી છે. એમાં એ કંઈ વિકૃત થયા નથી. વિકૃતિ જો થાય તો બદલાઈ જ જાય, ખલાસ થઈ જાય. આટલું જ સમજાય તો કામ થાય. આ ‘હું કરું છું’ એવું માને છે. અલ્યા, તું ક્યાં અહીં આગળ છે ? આ તો સચર છે, ‘મિકેનિકલ’ આત્મા છે. એની મહીં અચર છે એ શુદ્ધાત્મા છે. બહાર પ્રકૃતિ એ સચર વિભાગ છે અને અચર આત્મવિભાગ છે. લોકો સચરને સ્થિર કરવા માંગે છે. પ્રકૃતિ તો મૂળ સ્વભાવથી જ ચંચળ છે. જગત ઘડીવારેય વિસ્મૃત થાય તેવું નથી. કર્તાપણાનું મિથ્યાત્વશાસ્ત્રો તો બધાં જાણે છે, પણ અજાણ શેનાથી છે ? આત્માથી ! બધું જાણ્યું પણ આત્માથી અજાણ રહ્યો. એ તો એમ જ જાણે કે, ‘આ હું કરું તો જ થાય.’ શું કહે છે ? અલ્યા, દેવતામાં બેસ. એની મેળે થઈ જશે બધું ! દેવતા પર બેસવાથી એની મેળે ફોલ્લા થાય કે ના થાય ? અલ્યા, આ બીજુ બધું જાણ્યું એનાથી તો ‘ઈગોઈઝમ’ વધશે ઊલટો ! જે કરે તેને બંધન થાય. જે જે કંઈ કર્યું તે બધું બંધન છે. ત્યાગ કરે કે ગ્રહણ કરે-બધુંય બંધન છે. લીધા તે આપવા પડશે ને આપ્યા (પા.૧૯)તે લેવા પડશે. આ રૂપિયા ધીર્યા હોય તે છોડી દઈએ પણ ત્યાગનું ફળ આવે ત્યારે લેવું જ પડે. પ્રશ્નકર્તા : બધાં શાસ્ત્રોનો હેતુ તો આત્માનું દર્શન કરવાનો જ ને ? તો પછી આત્માનું દર્શન કેમ થતું નથી ? ‘ઈગોઈઝમ’ કેમ વધે છે ? દાદાશ્રી : ‘ઈગોઈઝમ’ વધે છે તેય બરાબર છે, કારણ કે એ ‘ડેવલપમેન્ટ’ છે. આ કોલેજમાં છેલ્લામાં છેલ્લું પી.એચ.ડી. થવા જાય છે, પણ જેટલા થયા તેટલા સાચા. બધા ના થાય. ધીમે ધીમે ‘ડેવલપ’ થાય. ‘ઈગોઈઝમ’ વધે છે, તેય બરાબર છે. એમાં જે છેલ્લા ‘ગ્રેડ’ના બે-ચાર હોય તેને ‘જ્ઞાની પુરુષ’ મળે એટલે એ પાસ થાય. ત્યાં સુધી એમ કરતાં કરતાં આગળ વધે છે. પહેલું આ ‘ઈગોઈઝમ’ને ઊભું કરે છે. હિન્દુસ્તાનની બહાર ‘ઈગોઈઝમ’ જે છે તે સાહજિક ‘ઈગોઈઝમ’ છે. એમનું ‘ઈગોઈઝમ’ કેવું છે ? જ્યાં જવાનું છે ત્યાં આગળ જવાનું ‘ઈગોઈઝમ’ કરે છે ને જ્યાં નથી જવાનું, ત્યાં નથી જવાનું ‘ઈગોઈઝમ’ કરે છે ને આપણે જ્યાં નથી જવાનું ત્યાં જવાનું ઊભું કરી દે અને જ્યાં જવાનું છે ત્યાં ના કહી દે ! આપણે અહીં બધું વિકલ્પી ‘ઈગોઈઝમ’ છે. એ લોકોને સાહજિક ‘ઈગોઈઝમ’ હોય છે. ગાય-ભેંસોને હોય છે તેવું. ત્યાં ચોરી કરનારો ચોરી કર્યા કરે, બદમાશી કરનારો બદમાશી કરે અને ‘નોબલ’ હોય એ નોબલ રહ્યા કરે. આપણે અહીં તો નોબલેય ચોરી કરે અને ચોરેય નોબેલિટી કરે. એટલે, આ દેશ જ અજાયબ છે ને ? આ તો ‘ઇન્ડિયન પઝલ’ છે ! જે કોઈથી ‘પઝલ’ સોલ્વ ના થાય. ફોરેનવાળાની બુદ્ધિ લડી લડીને થાકે, પણ એમને આનું ‘સોલ્યુશન’ ના જડે. કાકાનો છોકરો એમ કહે કે ગાડી અપાય એવી નથી, સાહેબ આવવાના છે ! આખો અહંકાર જ કપટવાળો ! અને જે ક્રિયાઓ કરે છે એ બધું બરોબર છે. એ અહંકાર વધારે છે અને એમ કરતાં કરતાં બધા અનુભવ ચાખી ચાખીને પછી આત્માનુભવ થાય. (પા.૨૦)પ્રશ્નકર્તા : પછી છેવટના ‘સ્ટેજે’ અહંકાર નીકળી જાય ? દાદાશ્રી : પછી એને જ્ઞાની મળી આવે. દરેક ‘સ્ટાન્ડર્ડ’ના શિષ્યો તૈયાર થાય તે પ્રમાણે એને માસ્તર મળી આવે, એવો નિયમ છે. કર્તા થયો કે બંધન થયું. પછી ગમે તેનો કર્તા થાય ! સકામ કર્મનો કર્તા થા કે નિષ્કામ કર્મનો કર્તા થા, કર્તા થયો એ બંધન. નિષ્કામ કર્મનું સુખ પડે, સંસારમાં શાંતિ મળે ને સકામનું દુઃખ આવે. વળગણ કોને ?પ્રશ્નકર્તા : આત્માને જે શરીરનું વળગણ છે, પુદ્ગલનું. તેથી ભટકે છે ? દાદાશ્રી : વળગણ આત્માને લાગતું જ નથી. આ તો બધું અહંકારને જ છે. અહંકાર છે તો આત્મા નથી અને આત્મા છે તો અહંકાર નથી. પ્રશ્નકર્તા : તો આત્માને મોક્ષ આપવાનો છે ને ? દાદાશ્રી : આત્મા મોક્ષમાં જ છે. એને દુઃખ જ નથી ને ! જેને દુઃખ હોય તેનો મોક્ષ કરવાનો છે. પોતે બંધાયેલોય નથી, મુક્ત જ છે. આ તો અજ્ઞાનથી માને છે કે ‘બંધાયેલો છું’ અને ‘મુક્ત છું’ એનું જ્ઞાન થાય એટલે મુક્ત થયો. ખરી રીતે બંધાયેલોય નથી. એ માની બેઠો છે. લોકોય માની બેઠા છે એવું આય માની બેઠો છે. લોકોમાં હરીફાઈ છે બધી આ. ‘મારું-તારું’ ભેદ પડ્યા એ બંધનને મજબૂતી કરે છે. પ્રશ્નકર્તા : દાદા, એ એકદમ ઊતરવું જરા મુશ્કેલ થઈ પડેને ? દાદાશ્રી : તેથી જ તો આ બધું અંતરાયું છે ને ! સમકિત થતું નથી તેનું કારણ જ આ છે. તેથી તો કહ્યું છે કે, આત્મજ્ઞાન જાણો ! આત્મા શું છે, એને જાણો. નહીં તો છૂટાશે નહીં ! શાસ્ત્રકારોએ બહુ બહુ દાખલાઓ આપ્યા છે, પણ એ સમજ પડે તો ને ? આત્મજ્ઞાની હોય ત્યાં જ છૂટકારો થાય. જ્ઞાની સમજાવે કે, ‘કેટલા ભાગમાં તું કર્તા (પા.૨૧)છે’. એ તો એવું માને છે કે, ‘‘સામાયિક, જપ, તપ, યોગ ‘હું’ જ કરું છું. ‘હું’ જ આત્મા છું ને ‘હું’ જ આ કરું છું.’’ હવે ‘કરે છે’ શબ્દ આવ્યો ત્યાંથી એ મિથ્યાત્વ છે ! ‘કરોમિ, કરોસિ ને કરોતિ’ એ બધું મિથ્યાત્વમાં છે ! પ્રકૃતિ કરે વાંકું : પુરુષ કરે સીધુંપ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. પ્રકૃતિ ક્રોધ કરવા માંડી ત્યારે ‘આપણે’ ‘ચંદુભાઈ’ને શું કહેવું પડે ? ચંદુભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.’ એટલે ‘તમારું’ કામ પૂરું થઈ ગયું ! પ્રકૃતિ તો કાલે સવારે અવળીય નીકળેને સવળીય નીકળે. એની સાથે આપણે લેવાદેવા નથી. ભગવાન શું કહે છે કે ‘તું તારું બગાડીશ નહીં.’ મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, ‘મેલ છાલ !’ અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી’ નથી ! આટલું બધું આ ‘સાયન્સ’ છે !!! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી’ જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી, હું શું કહેવા માંગું છું તે ? પ્રશ્નકર્તા : હા, સમજણ પડી. દાદાશ્રી : શું સમજણ પડી ? પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું. દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તોય આપણે તરત કહેવું, ‘આમ ના હોવું જોઈએ.’ આ તો બધું ખોટું છે ! પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે, તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ? પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે. (પા.૨૨)દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ? પ્રશ્નકર્તા : રહે છે, દાદા. દાદાશ્રી : દરેક વખતે રહે છે ? પ્રશ્નકર્તા : હા. દરેક વખતે રહે છે. દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે નિરંતર જાગૃતિ ને જાગૃતિમાં જ રાખે અને જાગૃતિ એ જ આત્મા છે. પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે ને બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી, આ ‘દાદા’એ એ જુદું પાડી આપ્યું છે. પછી આપણે ‘આપણો’ ભાગ જુદો ભજવવો. આ ‘પારકી પીડા’માં ઊતરવું નહીં. વીતરાગોની રીતવીતરાગોનો મત એ છે કે ‘‘પેલો અભિપ્રાય બાંધ્યો કે ‘આ આવા છે’, એ એનો ગુનો.’’ ‘અમે’ ખાલી ચેતવી જાણીએ. પછી તમારે વાંકું કાઢવું હોય તો તેને પહોંચી જ ના વળાય ને. એ તો ભગવાન મહાવીરના વખતમાં જ તેમનો શિષ્ય ગોશાળો ફરી ગયો હતો. ગોશાળો ભગવાનની સામે વ્યાખ્યાન આપતાં કહે છે, ‘હુંય મહાવીર જ છું.’ આમાં મહાવીર શું કરે ? તે દહાડે આવા પાકતા હતા, તે આજે મહીં બે જણ એવા પાકે તો તેને આપણાથી કંઈ ના કહેવાય ? અને એવા હોય ત્યારે જ સારું ને ? આ તો વીતરાગનું વિજ્ઞાન કેવું છે ? આપણે અભિપ્રાય બાંધ્યો કે ‘આ ખોટા છે અને આ ભૂલવાળા છે’, તો એ પકડાયા ! અભિપ્રાય અપાય તો નહીં, પણ આપણી દ્રષ્ટિય બગડવી ના જોઈએ ! હું ‘સુપરફ્લુઅસ’ રહું છું. અહીં કેટલા બધા મહાત્માઓ છે, તે બધાયની (પા.૨૩)હકીકત હું જાણું છું, પણ હું ક્યાં મહીં ડખો કરું ? દુરુપયોગ કરવા જેવું આ જ્ઞાન ન હોય. પ્રશ્નકર્તા : ભગવાનને ‘શું ખોટું ને શું સારું’ એવું જ નથી. પછી પ્રશ્ન ઊભો થતો નથી. દાદાશ્રી : એ ભગવાનની દ્રષ્ટિમાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય. આપણે હજુ ભગવાન થયા નથી, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ. પ્રશ્નકર્તા : પણ પછી તો સાચું શું ને ખોટું શું, એ પ્રશ્ન ગૌણ થઈ જાય છે ને ? દાદાશ્રી : ના. પણ ખેદ તો થવો જ જોઈએ. આ શબ્દ દુરુપયોગ થવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું તે તમને ‘બોધરેશન’ ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે, ‘મને કર્મ બંધાશે’, એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું પણ ચાળી ચાળીને ના બોલું કે, ‘કર્મ તો બંધાશે, જો તમે કદી આમ નહીં કરો તો.’ ‘અમે’ તમને બધી જ રીતની છૂટ આપી છે. ‘એક માત્ર વિષયમાં જાગૃત રહેજે’ એમ કહીએ છીએ અને તે પણ પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એટલા પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ. અણહક્કના વિષય સામે અમે તમને ચેતવીએ છીએ, કારણ એમાં બહુ મોટું જોખમ છે. આપણા ‘અક્રમ વિજ્ઞાન’માં આટલું જ ભયસ્થાન ‘અમે’ તમને બતાવીએ છીએ. બીજે બધેથી નિર્ભય બનાવી દઈએ છીએ. અભિપ્રાય ઉડાવોપ્રશ્નકર્તા : દ્વેષ ના રહે પણ પેલો અભાવ રહે, એનું શું કારણ ? દાદાશ્રી : અભાવ એ વસ્તુ જુદી છે. એ માનસિક બધી વસ્તુઓ છે. દ્વેષ તો અહંકારી વસ્તુ છે. અભાવ ‘લાઈક’ ને ‘ડિસલાઈક’ રહે. એ તો બધાને રહે. અમેય બહારથી અંદર આવીએ ને આ પાથરેલું દેખીએ ત્યાં આવીને બેસીએ. પણ કોઈ કહે કે તમારે અહીં નથી બેસવાનું, ત્યાં બેસવાનું છે. તો અમે ત્યાં બેસીએ, પણ પહેલાં ‘લાઈક’ આ (પા.૨૪)પાથરેલાની કરીએ. અમને દ્વેષ ના હોય પણ ‘લાઈક-ડિસલાઈક’ રહે. એ માનસિક છે, અહંકાર નથી ! પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહે ને ? દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા તેનાં ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે ‘પ્રતિક્રમણ’ કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય. પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારું છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલ્લક છે. ગમે તે રસ્તે મનને બાંધવું જોઈએ. નહીં તો મન છૂટું થઈ જાય, હેરાન કરે. પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં. તો શું કરવાનું ? દાદાશ્રી : મનને દબાવવાનું આપણે નથી હોતું, પણ એને આપણે ‘રીવર્સમાં’ લેવાનું. એટલે જેના માટે ખરાબ અભિપ્રાય હોય તો આપણે કહેવું કે આ તો બહુ સારા છે, ઉપકારી છે, કહીએ તો મન માની જાય. જ્ઞાનના આધારે મનને કાબૂમાં લઈ શકાય. બીજી કોઈ ચીજથી મન બંધાય એવું નથી. કારણ મન એ ‘મીકેનિકલ’ વસ્તુ છે. મન દહાડે દહાડે ‘એક્ઝોસ્ટ’ થયા કરે છે. એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી ને જૂની વપરાયા કરે છે. મન કહે કે કેડમાં દૂઃખે છે ત્યારે આપણે એને કહીએ કે સારું છે કે પગ ભાંગ્યા નથી. એવું બોલીએ એટલે પાછું મન શાંત થઈ જાય. એને પ્લસ-માયનસ કરવું પડે ! (પા.૨૫)યમરાજા વશ વર્તે તે...દાદાશ્રી : સંયમ કોને કહેવાય ? પ્રશ્નકર્તા : વ્યાખ્યા ખબર નથી. દાદાશ્રી : આ તો ભગવાનનો શબ્દ કહેવાય. પ્રશ્નકર્તા : સમજીને જ્ઞાનમાં આપણે રહીએ એ સંયમ. દાદાશ્રી : આ બધા ‘કંટ્રોલ’માં રહે છે, ‘આઉટ ઑફ કંટ્રોલ’ નથી થતા એને સંયમ નથી કહેવાતો. સંયમ તો જુદી જ વસ્તુ છે. એને સંયમધારી કહેવાય ! જેને યમરાજા પકડે નહીં એનું નામ સંયમી ! સંયમધારીને ભગવાને વખાણ્યા છે. સંયમધારીનાં તો દર્શન કરવાં પડે ! યમરાજાને જેણે વશ કર્યા છે !!! પ્રશ્નકર્તા : યમરાજાને વશ કર્યા છે, એ કેવી રીતે ? દાદાશ્રી : યમરાજા વશ થયા ક્યારે કહેવાય કે જેને મરણની બીક ના લાગતી હોય, ‘હું મરી જઈશ, હું યમરાજાના કબજામાં છું’ એવું ના લાગતું હોય તે સંયમધારી કહેવાય. સંયમનો અર્થ અત્યારે લોકો ક્યાંનો ક્યાં લઈ ગયા છે ! ભગવાનની ભાષાનો શબ્દ એકદમ નીચલી કક્ષામાં લઈ ગયા છે. ભગવાનની નિશ્ચય ભાષા વ્યવહારમાં લાવ્યા છે. અત્યારે લોકો જેને સંયમ કહે છે પણ ખરેખર તે સંયમ ના કહેવાય. આ તો કંટ્રોલ કર્યો કહેવાય. તે ‘કંટ્રોલ’ મનુષ્યોનો ઓછો હોય છે માટે તેમને ‘કંટ્રોલ’ કરવો પડે છે. જાનવરો માત્ર બધાં કંટ્રોલવાળાં છે. મનુષ્ય એકલાં જ ‘ડીકંટ્રોલ’વાળાં છે. પોતાનું ભાન જ નથી. પ્રશ્નકર્તા : સત્તા છે પણ જવાબદારીનું ભાન નથી. દાદાશ્રી : જ્યારે કંટ્રોલની સંપૂર્ણ સત્તા હાથમાં આવી ત્યારે (પા.૨૬)દુરુપયોગ કર્યો. એટલે પોતે નિરાશ્રિત થઈ ગયો ! આ ગાયો-ભેંસોને ચિંતા થાય ખરી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે આ મનુષ્યો એકલાને જ ચિંતા થાય છે. કારણ કે સત્તાનો દુરુપયોગ કર્યો. ચિંતા ઊભી થઈ કે પોતે નિરાશ્રિત થયો. ‘મારું શું થશે ?’ એવું જેને જેને થાય એ બધા નિરાશ્રિત. યાદ આવે તે પરિગ્રહનાસ્તા કરવામાં વાંધો નથી. લત લાગવી ના જોઈએ. આત્માને ખેંચી ના જાય એટલી જાગૃતિ રાખવી જોઈએ. ખેંચાઈ જવાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. જમવામાં શું ખેંચી જાય છે ? પ્રશ્નકર્તા : તીખું. દાદાશ્રી : પછી યાદ આવે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો એ ખાધું જ ના કહેવાય, યાદ આવ્યું તો પરિગ્રહ. યાદ ના આવ્યું તો એ પરિગ્રહ ના કહેવાય. ચોપડો લખવાનો બાકી હોય તો યાદ આવે કે આટલી સિલક બાકી છે. માખી ત્યાં જ ભ્રમણ કરતી હોય. આ ‘દાદા’ની યાદગીરી જ એવી છે કે બધું ભૂલાડી દે. એમને એમ જ પરિગ્રહ ભૂલાડી દે ! પ્રશ્નકર્તા : સાધારણ સંયોગોમાં જે આપણને યાદ આવતું ના હોય પણ એ સામે આવે અને અમુક કલાક સુધી રહે એ પરિગ્રહમાં ગણાય કે ? દાદાશ્રી : હાસ્તોને ! જે આપણને સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ ! એ ગ્રહ વળગ્યો છે, પરિગ્રહનું ભૂત વળગ્યું છે. તેથી ‘આપણે’ ‘સ્વરૂપ’ (પા.૨૭)ભૂલી જઈએ છીએ ! એટલો વખત કલાક-બે કલાક સ્વરૂપનું લક્ષ ચૂકી જવાય. અરે, કેટલાકને તો બાર-બાર કલાક સુધી ચૂકી જવાય. અને આ જગતમાં, જેને જ્ઞાન ના આપ્યું હોય તેને તો એ જ ચાલ્યા જ કરે. આખો દહાડો પાણી પારકા જ ખેતરમાં જાય. પંપ ઘરનો, એન્જિન-પાણી બધું પોતાનું, પેટ્રોલ-ઓઈલ પોતાનું, ને તોય પાણી જાય લોકોનાં ખેતરમાં ! ‘સ્વરૂપ જ્ઞાન’ પછી બધું પાણી પોતાના જ ખેતરમાં જાય. ‘સ્વક્ષેત્ર’માં જ જાય, પરક્ષેત્રમાં ના જાય. પ્રશ્નકર્તા : પંદર દહાડા સુધી યાદ ના આવે ને પછી યાદ આવે એ પરિગ્રહમાં જાય ? દાદાશ્રી : હા. ભૂત આપણી પાછળ પડ્યું છે. તે આખી દુનિયાનાં ભૂતાં વળગ્યાં છે તમને ? તમને તમારાં ભૂતાં વળગેલાં છે. અમુક બાબત હોય એટલાં જ વળગેલાં છે. બીજાં બધાં વળગેલાં ના હોય ! સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિપ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને છોડવાનો રસ્તો, એ જ્ઞાન જ છે ? અને એ જ્ઞાન આ કાળને માટે સમન્વિત છે ? દાદાશ્રી : સાચું જ્ઞાન તો એનું નામ કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભને ઊડાડી મૂકે. પ્રશ્નકર્તા : એ પ્રાપ્ત કેમ કરવું ? દાદાશ્રી : એ જ જ્ઞાન અહીં તમને આપું છું. આ બધાને ક્રોધ-માન-માયા-લોભ બધું ઊડી જ ગયેલું છે. પ્રશ્નકર્તા : હૃદયની સરળતા આવવી એટલી સહેલી છે ? દાદાશ્રી : સરળતા આવવી કે ના આવવી એ તો પૂર્વભવનો હિસાબ છે. એનું ‘ડેવલપમેન્ટ’ છે. જેમ સરળ થાય તેમ વધુ ઉત્તમ કહેવાય. પણ એ ‘ક્રમિકમાર્ગ’નું છે. એમાં સરળ માણસ ધર્મને પામે પણ એમાં કરોડ અવતારેય મોક્ષનું ઠેકાણું ના પડે. ને આ ‘અક્રમવિજ્ઞાન’ છે. આ (પા.૨૮)એક જ અવતારી જ્ઞાન છે. અને જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે ! તમે ડૉક્ટરની લાઈન કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે. તેથી કવિરાજ કહે છે કે દસ લાખ વર્ષે આવું થયું નથી, એવું આ થયું છે. પ્રશ્નકર્તા : શરણાગતિ જોઈએ એમ ? દાદાશ્રી : ના. અહીં શરણાગતિ જેવી કશી વસ્તુ જ નથી. અહીં તો અભેદભાવ છે. મને તમારા કોઈની જોડે જુદાઈ લાગતી જ નથી. ને આ દુનિયા જોડેય જુદાઈ લાગતી નથી. પ્રશ્નકર્તા : આપ તો બહુ ઊંચી કોટિના છો, અમે તો બહુ નીચી કોટિના છીએ. દાદાશ્રી : ના. એવું નથી. તમે તો મારી કોટિના જ છો. તમે મને જોયા જ કરો. તેનાથી મારારૂપ થયા કરો. બીજો કોઈ રસ્તો નથી. જેને તમે જુઓ તે રૂપ થયા કરો. પ્રશ્નકર્તા : સંસારના વ્યવહારમાં શુદ્ધતા, શુચિ જોઈએ ને ? દાદાશ્રી : શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ કે આદર્શ વ્યવહાર કહેવાવો જોઈએ. ‘વર્લ્ડ’માંય જોયો ના હોય, તેવો ઊંચામાં ઊંચો, વ્યવહાર હોવો જોઈએ. અમારો વ્યવહાર તો બહુ ઊંચો હોય. આ વિજ્ઞાન એવું છે. હું જે તમને દેખાડું છું એ કેવળજ્ઞાનનો આત્મા છે અને આ જગતના લોકો જે આત્મજ્ઞાન કરે છે, એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે. પ્રશ્નકર્તા : પાત્રતા કે અધિકારની વગર આ જ્ઞાન કેમ પચે ? દાદાશ્રી : પાત્રતા કે અધિકારની અહીં જરૂર જ નથી. આચારના ધોરણ ઉપર આ નથી. બાહ્યાચાર એ શું છે ? જગત આખું બાહ્યાચાર ઉપર બેઠું છે. બાહ્યાચાર એ ‘ઈફેક્ટ’ છે, ‘કોઝિઝ’ નથી. ‘કોઝિઝ’ અમે (પા.૨૯)ઊડાડી મૂકીએ છીએ. પછી ‘ઈફેક્ટ’ તો એની મેળે ધોવાઈ જશે. પરમ વિનયપ્રશ્નકર્તા : પરમ વિનય એ આચાર ખરો ? દાદાશ્રી : પરમ વિનય તો એની મેળે ઉત્પન્ન થાય. આ ‘‘જ્ઞાન’’ જ ઉત્પન્ન કરે છે. જેમ છોકરાંને આ શીશી ‘પોઈઝન’ની છે અને ‘પોઈઝન’ એટલે શું એવું સમજાવવામાં આવે પછી એ એને અડતો નથી. એવી રીતે આ જ્ઞાન અવિનય છોડાવે છે, ને પરમ વિનય ઉત્પન્ન કરાવે છે. તમારે પરમ વિનયમાં રહેવાનું નથી પણ... પ્રશ્નકર્તા : રહેવાઈ જાય. દાદાશ્રી : હા એની મેળે જ પરમ વિનયમાં રહેવાય. દાદા દરબારનો વિનયદાદાશ્રી : આ અમે આવીએ અને તમે બધાં ઊભાં થઈ જાઓ. તે આ ઊઠબેસ કરવાથી તો પાર આવે એવું નથી. એનાથી તો દમ નીકળી જાય. પ્રશ્નકર્તા : દેરાસરમાં તો ભગવાનની મૂર્તિ પાસે વંદના કરતી વખતે ઊઠબેસ જ કરે છે ને ? દાદાશ્રી : ત્યાં ઊઠબેસ કરે તો વિનયના બહુ માર્ક છે અને આપણે અહીં તો બીજી કમાણી ઘણી કરવાનીને ? વિનયનું ફળ મોક્ષ છે; ક્રિયાઓનું ફળ મોક્ષ નથી. દેરાસરમાં વિનય કરો, તે દેખાય છે. આમ ક્રિયા ખરી, પણ તે વખતે અંદર સૂક્ષ્મ વિનય છે તે મોક્ષને આપનારો છે. વંદન કરે તે ઘડીએ ગાળો ભાંડતો ના હોય અને ‘અહીં’નો વિનય અભ્યુદય ને આનુષંગિક બન્ને ફળ આપે ! ગુરુ મહારાજને વિનય કરી બહાર આવીને નિંદા કરે તો પછી બધી ધૂળધાણી જ થઈ જાય. વિનય કરો તેની નિંદા ના કરો ને નિંદા કરવી હોય તો ત્યાં વિનય કરશો નહીં. એનો કશો અર્થ જ નહીં ને ? (પા.૩૦)તમારે તો અહીં કશું કરવાનું જ રહ્યું નથી ને ? આ ઊભા થવાની તો એટલા માટે ના પાડીએ કે આ કાળમાં લોકોનાં પગનાં ઠેકાણાં નથી. આખો દહાડો દોડધામ, દોડધામ થાય. આ રેલવેએ પૂલ ચઢાવી ચઢાવીને દમ કાઢી નાખ્યો ! હવે તેમાં તમને કહીએ કે ઊભા થાવ, બેસી જાવ તો તેનો ક્યારે પાર આવે ? એના કરતાં આપણે સહીસલામત રહો ને. જેને જેમ અનુકૂળ આવે તેમ બેસો. ‘દાદા’ને બધું પહોંચી ગયું છે. આ ‘દાદા’ તો તમારા ભાવને જ જુએ છે, ક્રિયાને નથી જોતા. સમજની શ્રેણીઓપ્રશ્નકર્તા : સામો દોષિત ના દેખાય તે માટે ‘પ્રકૃતિ કરે છે’ એ સમજથી કામ લઉં છું. દાદાશ્રી : એ ‘ફર્સ્ટ સ્ટેજ’ની વાત છે, પણ છેલ્લી વાતમાં આ કશું જ બનતું નથી. આત્મા આનો જાણકાર જ છે. બીજું કશું જ નથી. તેને બદલે માની બેઠો છે કે સામાએ જ કર્યું ! ‘રોંગ બિલીફ’ જ છે ખાલી. પ્રશ્નકર્તા : એકના એક છોકરાને મારી નાખ્યો... દાદાશ્રી : તે મરતો જ નથી. જે મૂળ સ્વભાવ છે, જે ‘મૂળ વસ્તુ’ છે, તે મરતો જ નથી. આ તો જે નાશવંત ચીજો છે તેનો નાશ થયા જ કરે છે. જગત નિર્દોષ જ દેખાય. જેને ઓછી સમજણ હોય તે હિસાબ ગોઠવીને કહે ‘હિસાબ હશે.’ નહીં તો, ‘મારો છોકરો છે’ એવું હોય જ નહીં ને !! ભગવાનની ભાષા સમજાઈ, તેને તો બધું જગત નિર્દોષ જ દેખાય ને ? કોઈ ફૂલ ચઢાવે તોય નિર્દોષ દેખાય ને પથ્થર મારે તોય નિર્દોષ દેખાય ! એકે મારી નાખ્યો ને એકે બચાવ્યો. પણ બન્ને નિર્દોષ દેખાય, વિશેષતા ના દેખાય આમાં. તમને અમારા જ્ઞાનની સમજથી સમજવું હોય તો ‘‘વ્યવસ્થિત’’ છે, ‘હિસાબ છે’, એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે (પા.૩૧)‘મૂળ વસ્તુ’ સમજાશે. ‘બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ’. ‘વ્યવસ્થિત’ ખરું, પણ ‘વ્યવસ્થિત’ પરના અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે, કે બધી કુદરતની જ ક્રિયા છે. કુદરત જીવમાત્રનું હિત જ કરી રહી છે, પણ એને ‘ડીસ્ટર્બ’ આ કાળ કરે છે. પ્રશ્નકર્તા : કાળ ‘ડીસ્ટર્બ’ કરે છે, એ ના સમજાયું. દાદાશ્રી : આ કાળ ‘ડીસ્ટર્બ’ ના કરતો હોત ને તો આ જગત બહુ સુંદર લાગે. આવો કાળ આવે ત્યારે નીચે અધોગતિમાં લઈ જાય. બાકી કુદરતનું અધોગતિમાં લઈ જવાનું કામ નથી. કુદરતનો સ્વભાવ તો નિરંતર ઊર્ધ્વગતિમાં જ લઈ જવાનો છે. એક કાળ એવો હતો કે શેઠિયાઓ નોકરોને પજવતા હતા અને હવે નોકરો શેઠિયાઓને પજવે છે એવો કાળ આવ્યો છે ! કાળની વિચિત્રતા છે ! નોર્માલિટીમાં હોય તો બહુ સુંદર કહેવાય. શેઠ નોકરને પજવે જ નહીં ને નોકર આવું તોડફોડ કરે નહીં. આ તો પોતે ખાલી માની બેઠો છે. બાપ થયો તેય માની બેઠો છે કે હું બાપ થાઉં. પણ છોકરાને બે કલાક ખૂબ ગાળો ભાંડ ભાંડ કર તો ખબર પડે કે બાપ કેટલા દહાડાનો છે ! ઠંડો જ થઈ જાય ને ! ખરેખર બાપ હોય તો તો જુદા જ પડે નહીં. પાપોનું પ્રાયશ્ચિતપ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાય ને ? દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોત ને તો કોઈ માંદા-સાજાં હોય જ નહીં ને ? પછી તો કશું દુઃખ હોય જ નહીં ને ? પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માગવાનો અર્થ શું કે તમે માફી માંગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડે ને ? (પા.૩૨)પ્રશ્નકર્તા : કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફૂટી નીકળે. દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યા કરે. બાકી મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવાં પડે ! કૃષ્ણ ભગવાનનેય અહીં તીર વાગ્યું હતું ! એમાં ચાલે નહીં. મારે હઉ ભોગવવું પડે ! દરેકના ધર્મમાં માફીનું હોય છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ બધાંમાં હોય, પણ જુદી જુદી રીતે હોય. પ્રશ્નકર્તા : ભગવાને જે ચાર પ્રકારનાં સુખ આપેલાં છે, તે ચારેય પ્રકારનાં સુખ કોઈ એક વ્યક્તિને તો આવે જ નહીં ને ? દાદાશ્રી : આ સુખ જ નથી. બધી કલ્પનાઓ છે. આ સાચું સુખ જ નથી. પ્રશ્નકર્તા : કયું સાચું ને કયું ખોટું સુખ, એ અનુભવ થયા વગર શી રીતે સમજાય ? દાદાશ્રી : પોતાને અનુભવ થાય જ. બહારની કોઈ વસ્તુની મદદ સિવાય એવું સુખ ઉત્પન્ન થાય કે કોઈ દહાડો જોયું ના હોય ! પ્રશ્નકર્તા : એ કાયમ રહેવું જોઈએ. દાદાશ્રી : એ સુખ પછી જાય જ નહીં. આ (જ્ઞાન લીધા પછી) બધાને એવું સુખ ઉત્પન્ન થયું છે, પછી એ ગયું જ નથી. પછી એ સુખની ઉપર તમે ઢેખાળા નાખ નાખ કરો, તો તમને વાગે ખરા. પણ અમારી આજ્ઞામાં રહો તો કશું થાય નહીં. અમારી આજ્ઞા તદ્દન સહેલી છે ! સુખનું શોધનદાદાશ્રી : શાને માટે નોકરી તું કરે છે બેન ? પ્રશ્નકર્તા : એવું નસીબમાં લખી લાવ્યા હઈશું. (પા.૩૩)દાદાશ્રી : પછી, પૈસાનું શું કરે છે ? પ્રશ્નકર્તા : હું આત્માને ખોળું છું. દાદાશ્રી : આત્માને કોઈક જ માણસ ખોળી શકે. બધા જીવો કંઈ આત્માને ખોળતા નથી. આ બધા જીવો શું ખોળે છે ? સુખને ખોળે છે. દુઃખ કોઈ જીવને ગમતું નથી. નાનામાં નાનું જીવડું હોય કે મનુષ્ય હોય કે સ્ત્રી હોય, દુઃખ કોઈને ગમતું નથી. હવે આ બધાને સુખ તો મળે છે પણ કોઈને સંતોષ નથી. એનું શું કારણ હશે ? આ સુખ એ સાચું સુખ ન હોય. એક વખત સુખ સ્પર્શી ગયું પછી દુઃખ ક્યારેય પણ ના આવે એનું નામ સુખ કહેવાય. એવું સુખ ખોળે છે ! મનુષ્ય અવતારમાં એને મોક્ષ કહેવાય. પછી કર્મો પૂરાં થાય કે મોક્ષ થઈ ગયો ! પણ પહેલો મોક્ષ અહીં થઈ જ જવો જોઈએ. કષાય ન થવા જોઈએ. કષાય તને થાય છે કે ? પ્રશ્નકર્તા : થાય છે. દાદાશ્રી : કષાય તને બહુ ગમે છે, ખરું ? પ્રશ્નકર્તા : ગમતા તો નથી, પણ થાય છે. દાદાશ્રી : કષાય એ જ દુઃખ છે ! આખું જગત કષાયમાં જ પડ્યું છે. લોકોને કષાય ગમતા નથી. પણ છતાંય કષાયોએ એમને ઘેરી લીધા છે. કષાયના તાબામાં જ બધાં આવી ગયાં છે. એટલે એ બિચારાં શું કરે ? ગુસ્સો ઘણોય ના કરવો હોય તો પણ થઈ જાય. તારે સુખ કેવું જોઈએ છે, ‘ટેમ્પરરી’ કે ‘પરમેનન્ટ’? પ્રશ્નકર્તા : બધાયને કાયમનું જોઈએ છે. દાદાશ્રી : છતાં પણ કાયમનું સુખ મળતું નથી, એનું શું કારણ ? પ્રશ્નકર્તા : આપણાં કર્મો એવાં, બીજું શું ? દાદાશ્રી : કર્મો ગમે તેવાં હોય પણ આપણને કાયમનું સુખ (પા.૩૪)આપનાર, દેખાડનાર કોઈ મળ્યા નથી. જે પણ પોતે કાયમનું સુખ ભોગવતા હોય તેમને આપણે કહીએ કે મને રસ્તો દેખાડો તો આપણું કામ થઈ જાય. પણ એવા કોઈ મળ્યા નહીં. દુખિયા ને દુખિયા જ મળ્યા. તે દુઃખ એનું ય ના ગયું ને આપણું ય ના ગયું. ‘જ્ઞાની પુરુષ’ એકલા જ કાયમના સુખી હોય. એ મોક્ષમાં જ રહેતા હોય. એમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. નહીં તો ભટક ભટક કરવાનું છે. આ કાળમાં શાંતિ શી રીતે રહે ? સ્વરૂપનાં જ્ઞાન વગર શાંતિ શી રીતે રહે ? અજ્ઞાન એ જ દુઃખ છે. જાપ કોનો ?પ્રશ્નકર્તા : મનની શાંતિ મેળવવા માટે એવો કયો જાપ વધુ કરવો કે જેથી મનની વિશેષ શાંતિ થાય અને ભગવાન તરફ લક્ષ થાય ? દાદાશ્રી : સ્વરૂપનો જાપ કરે તો થઈ જાય. પ્રશ્નકર્તા : સહજાત્મસ્વરૂપ પરમગુરુ ? દાદાશ્રી : ના, એ સ્વરૂપનો જાપ નથી. એ ભગવાનની ભક્તિ છે. સ્વરૂપનું એટલે ‘તમે કોણ છો ?’ એનો જાપ કરો તો પૂરી શાંતિ મળી જાય. સ્વરૂપનો જાપ કેમ નથી કરતા ? પ્રશ્નકર્તા : મનમાં ઘણા વખતથી પ્રશ્ન મૂંઝવતો હતો કે કઈ જાતના જાપ કરવાથી શાંતિ મળે ? દાદાશ્રી : સ્વરૂપના જાપ કરે તો નિરંતર શાંતિ મળે, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય. એના માટે ‘જ્ઞાની પુરુષ’ની પાસે કૃપાપાત્ર થવું જોઈએ. જ્ઞાની મળ્યા પછી સાધનોની નિરર્થકતાપ્રશ્નકર્તા : અંતઃકરણની શુદ્ધિ માટે જે સાધનો બતાવ્યાં છે, તે કેટલા અંશે જરૂરી છે ? દાદાશ્રી : કયાં સાધનો ? (પા.૩૫)પ્રશ્નકર્તા : જપ, તપ એ બધાં. દાદાશ્રી : જ્યાં સુધી સાધ્ય વસ્તુ મળે નહિ, ત્યાં સુધી સાધનોમાં રહેવું જોઈએ. પણ જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો કશું જ કરવાની જરૂર નથી. ‘જ્ઞાની પુરુષ’ પોતે જ બધું કરી આપે. અને તે ના મળ્યા હોય તો તમારે કંઈ ને કંઈ કરવું જ જોઈએ. નહીં તો ઊંધો માલ પેસી જાય. શુદ્ધિકરણ ના કરો તો અશુદ્ધિ જ થયા કરે કે ના થયા કરે ? એટલે આપણે રોજ પૂંજો તો વાળવો જ પડે ને ? ‘જ્ઞાની પુરુષ’ મળ્યા હોય તો તેમને કહેવું કે સાહેબ, મારો ઉકેલ લાવી આપો. તે ‘જ્ઞાનીપુરુષ’ એક કલાકમાં બધું જ કરી આપે, પછી એમની આજ્ઞામાં ફક્ત રહેવાનું કે ચાલુ લિફ્ટમાં હાથ બહાર કાઢશો નહીં. નહીં તો હાથ કપાઈ જશે. અને આખી લિફ્ટ ઊભી રાખવી પડે. આ તો મોક્ષે જવાની લિફ્ટ છે. મોક્ષે જવાના બે માર્ગ : એક ‘ક્રમિક’ માર્ગ ને બીજો ‘અક્રમ માર્ગ’. ક્રમિક એટલે ‘સ્ટેપ બાય સ્ટેપ’ પગથિયાં ચઢવાનું ને ‘અક્રમ’ એટલે લિફ્ટમાં ઊંચે જવાનું ! મોક્ષ - ‘અક્રમ’ માર્ગપ્રશ્નકર્તા : મોક્ષને મેળવવા સીધો રસ્તો નથી ? દાદાશ્રી : તારે વાંકો જોઈએ છે ત્યારે ? પ્રશ્નકર્તા : વાંકો તો નથી જોઈતો, પણ સીધો નથી મળતો. ‘મોક્ષ મેળવવા માટેનો રસ્તો સહેલો નથી’ એમ મારું માનવું છે. દાદાશ્રી : હા, એ તો બરોબર છે. મોક્ષ માટે બે રસ્તા છે. કાયમનો તો એક જ રસ્તો છે. આ જે અઘરો રસ્તો તમે કહો છો ને તે જ છે. આ તો કો’ક વખત ઇનામી રસ્તો નીકળ્યો છે. તે દસ લાખ વરસે નીકળે છે ! તેમાં જેને ટિકિટ મળી ગઈ તેનું કલ્યાણ થઈ ગયું ! આ રસ્તો કાયમને માટે હોતો નથી. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે અને પેલું ‘ક્રમ વિજ્ઞાન’ છે. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ. પગથિયે, પગથિયે ચઢીને ઉપર જવાનું ને આ લિફ્ટ છે ! લિફ્ટ તને ગમતી ના હોય તો વાંધો નહીં. (પા.૩૬)આપણે તને પેલો રસ્તો દેખાડીશું. તારાથી પગથિયાં ચઢવાની શક્તિ છે પછી શું ખોટું છે ? અને લિફ્ટ જેને ગમતી હોય, જેનામાં શક્તિ ના હોય તે લિફ્ટમાં બેસે. ‘જ્ઞાની’ મળે તો મોક્ષ હથેળીમાં છે ને ના મળે તો કરોડો અવતારે ય ઠેકાણું ના પડે ! પ્રશ્નકર્તા : જ્ઞાની પણ સમ્યક્જ્ઞાની હોવા જોઈએ ને ? એને સાચી સમજણ હોવી જોઈએ ને ? દાદાશ્રી : હા, સમ્યક્જ્ઞાન તમને પણ થવું જોઈએ. તો જ મોક્ષ થાય. સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર બધું જ થાય ત્યારે મોક્ષ થાય. એમ ને એમ મોક્ષ થાય નહીં. પ્રશ્નકર્તા : અમનેય મોક્ષની વાનગી ચખાડશો ને ? દાદાશ્રી : હા. ચખાડીશું. બધાંને ચખાડીશું. જેને ચાખવું હોય તેને ચખાડવાનું. અંતર ભેદાયા વિણ નીપજે ના અંતરદ્રષ્ટિપ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમારે અંદર જ જોયા કરવાનું છે. એટલે આપણે અંદર શું જોવાનું છે ? દાદાશ્રી : એ જે કહેલું છે તે સાપેક્ષ વચન છે. જેને આંતરિક જ્ઞાન થયેલું હોય તેણે અંદર જોવાનું અને જેને બાહ્ય જ્ઞાન થયું હોય તેણે બહાર જોવાનું. હવે બાહ્યજ્ઞાન થયેલું હોય અને અંદર જુએ તો શું દેખાય એને ? પ્રશ્નકર્તા : બહારનું જ દેખાય. દાદાશ્રી : એટલે મારું કહેવાનું એ છે કે આ જે વચન કહ્યું છે તે સાપેક્ષ વચન છે. જેને અંતરનું કંઈક જ્ઞાન થયેલું છે, અંતરની કંઈક વાત સાંભળી છે, અને અંતર કંઈક ભેદાયું છે તેને અંદર જોવાનું. અને અંતર ભેદાયું ના હોય તો અંદર શું જોશો ? (પા.૩૭)પ્રશ્નકર્તા : આપણને કંઈ વિચાર ઊઠતા હોય તે. દાદાશ્રી : હા, પણ તે અંતર ભેદાયું હોય તેને માટે એ કામનું છે. અંતર ભેદાયું ના હોય, વિચારો ઊઠતા હોય, તેમાં તન્મયાકાર થઈ જાય પછી શું દેખાય ? અંતર ભેદાયું હોય તે તો વિચારમાં તન્મયાકાર ના થાય ને તેને જુએ કે શું મને વિચાર આવ્યો ? પણ અંતરભેદ થવો બહુ સહેલો નથી. એ ‘જ્ઞાની પુરુષ’ વગર અંતરભેદ ના થાય. ભેદ તો પડવો જોઈએ ને આપણને ? અહંકાર ભેદ ના પડવા દે. જેની દ્રષ્ટિ બહાર જ છે, લૌકિકમાં રાચેલો છે. એને અંદર શું જોવાનું ? એની રમણતા ક્યાં છે તે ઉપર દ્રષ્ટિનો આધાર છે. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અંદર કશું દેખવા જેવું જ નથી. ફક્ત શુભ ઉપયોગ રાખે પણ એ કંઈ મોક્ષમાર્ગ નથી, ધર્મમાર્ગ છે એટલે એને ને મોક્ષને કંઈ લેવાદેવા નથી. તમે અંદર ગમે તેટલો ઉપયોગ રાખશો પણ તે શુદ્ધ ઉપયોગ તો નહીં ગણાય. શુદ્ધ ઉપયોગ તો ‘જ્ઞાની પુરુષ’ ‘જ્ઞાન’ આપે પછી રહે. ‘જ્ઞાન’ કયું ? આત્મજ્ઞાન. ‘હું કોણ છું’ એ નક્કી થાય. અને તે પાછું ભાન સહિત હોવું જોઈએ. શુદ્ધ ઉપયોગ એ મોક્ષમાર્ગ છે. અને તમે કહો છો એ બધા શુભ ઉપયોગ છે. અશુભમાંથી શુભમાં આવવાનો એ માર્ગ છે. અધ્યાત્મ અને બૌદ્ધિકતાપ્રશ્નકર્તા : અધ્યાત્મના અનુભવ વિશે દાદા પાસે કે કોઈ પણ વીતરાગ પુરુષ પાસે આપણે ઉત્તરો મેળવીએ, તો એ બૌદ્ધિક અર્થઘટન ગણાય કે ? દાદાશ્રી : તમારી પાસે આવ્યું એટલે બૌદ્ધિક થઈ ગયું. તમારે બુદ્ધિથી સમજવા માટે બૌદ્ધિક થઈ ગયું. બાકી આમ તો જ્ઞાન પ્રકાશ છે ! બુદ્ધિ તો અમારામાં હોય જ નહીં ! એટલે અમે જ્ઞાનના ‘ડાયરેક્ટ’ પ્રકાશથી જ વાત કરીએ. અમારી પાસે પુસ્તકનીય વાત ના હોય. (પા.૩૮)પ્રશ્નકર્તા : વાણીમાં જે ઊતરે, તો એ એટલા અંશે બૌદ્ધિક ના થઈ ગયું કહેવાય ? દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. વાણીમાં તો ‘ડાયરેક્ટ’ પ્રકાશ બધોય ઊતરે અને ‘ઈનડાયરેક્ટ’ પણ બધોય ઊતરે. વાણીને એવી કશી લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : ‘ડાયરેક્ટ’ પ્રકાશ પહોંચાડવા માધ્યમની મર્યાદા વાણીને નડે કે નહીં ? દાદાશ્રી : ‘ડાયરેક્ટ’ પ્રકાશવાળી વાણી સ્યાદ્વાદ હોય. કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય એવી એ વાણી હોય. બુદ્ધિવાળી વાણી કોઈને દુઃખદાયી થઈ જાય. કારણ કે બુદ્ધિવાળી વાણીમાં અહંકાર રૂપી ‘પોઈઝન’ હોય છે. પ્રશ્નકર્તા : વીતરાગ વાણી હોય પણ ઝીલનારી સામી બુદ્ધિ હોય તો એ વીતરાગતા સમજી શકે ખરી ? દાદાશ્રી : બુદ્ધિ સમજી શકે ખરી, પણ તે પોતાની મેળે ના સમજે. એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે સમ્યક્ થાય ત્યારે ઝીલી શકે. પ્રશ્નકર્તા : ઝીલનારો જે હોય એ તો એની બૌદ્ધિક શક્તિથી ઝીલે ને ? કે એની મર્યાદા હોય પાછી... દાદાશ્રી : હા, એ બૌદ્ધિક શક્તિથી ઝીલે છે પણ એ ‘જ્ઞાની પુરુષ’ની હાજરીમાં જ એ બુદ્ધિ પકડી શકે છે, બીજી જગાએ બુદ્ધિ પકડી શકે નહીં. કારણ કે ‘જ્ઞાની પુરુષ’ની હાજરીમાં નીકળેલી વાણી આવરણો ભેદી ‘ડાયરેક્ટ’ આત્માને પહોંચે છે અને આત્માને પહોંચે છે એટલે તરત તમારાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર પકડી લે છે. અમારી વાણી આત્મામાંથી પાસ થઈને નીકળેલી હોય છે. જગતની વાણી મનમાંથી પાસ થઈને નીકળેલી હોય છે. એટલે એને મન ‘એક્સેપ્ટ’ કરે ને અહીં આત્મા ‘એક્સેપ્ટ’ કરે. પણ પછી પાછું મન, બુદ્ધિ એને પકડી લે. (પા.૩૯)અવસ્થામાં અસ્વસ્થ, સ્વમાં સ્વસ્થપ્રશ્નકર્તા : આ વીતરાગની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થવાનું બને અને હાજરીમાં સ્વસ્થ રહેવાય, એવું કેમ બને છે ? દાદાશ્રી : હાજરીમાં તો સ્વસ્થ રહે જ. અસ્વસ્થ રહે છે એ આપણી બુદ્ધિ રખાવડાવે છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. અને અહંકારવાળી બુદ્ધિ છે તે આ અસ્વસ્થ કરાવડાવે છે. એનો જો ‘એન્ડ’ આવી જાય તો અસ્વસ્થ થવાનું કોઈ કારણ જ નથી. પ્રશ્નકર્તા : ભૌતિક રીતે તો એ શક્ય ના હોય ને ? દાદાશ્રી : ના, શક્ય ના હોય ! છતાંય પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો ! નહીં તો પોતાની બુદ્ધિ અને અહંકાર નિકાલ કરતાં કરતાં ખલાસ થઈ જશે, એટલે પછી એની મેળે જ નિરંતર સ્વસ્થતા રહેશે, સ્વમાં રહેવા માટે સ્વસ્થતા અને આ છે તે અવસ્થાઓમાં રહે છે માટે અસ્વસ્થતા. અવસ્થા બધી વિનાશી છે, સ્વ અવિનાશી છે. તે અવિનાશીમાં રહે તો સ્વસ્થ રહી શકે અને નહીં તો પેલો અસ્વસ્થ રહ્યા કરે. પ્રશ્નકર્તા : અવસ્થામાં અસ્વસ્થ રહે છે, તે પોતે જોઈ શકે છે ને જાણી શકે છે છતાંય સ્વસ્થ નથી રહેવાતું, એટલું બુદ્ધિનું આવરણ વધારે કહેવાય ? દાદાશ્રી : ના, ત્યાં આગળ શું ન્યાય છે કે જોનાર છે, જે દાદાએ આત્મા આપેલો છે, ‘શુદ્ધાત્મા’ તે જ આ બધું જોનાર છે. ‘તે’ રૂપે ‘આપણે’ રહીએ તો કશી ભાંજગડ નથી. નહીં તો સ્વસ્થ અને અસ્વસ્થ જોવા જઈએ તો પાર જ નથી આવે એવો. પ્રશ્નકર્તા : એની ચાવી કઈ ? દાદાશ્રી : સ્વસ્થ થાય કે અસ્વસ્થ થાય, બેઉનો જાણકાર શુદ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં, ‘ફોરેન’માં હાથ ઘાલે છે. સ્વસ્થ થાઓ કે અસ્વસ્થ થાઓ અમારે ‘જાણ્યા’ સાથે કામ છે. આ બધી પૌદ્ગલિક અવસ્થા છે અને પૌદ્ગલિક અવસ્થાને જાણે તે ‘શુદ્ધાત્મા’ (પા.૪૦)કહેવાય. પૌદ્ગલિક એટલે પૂરણ-ગલન થયેલી ! જે અસ્વસ્થતા તમને આવે છે તે પૂરણ થયેલી હોય તો જ અત્યારે આવે, તે અત્યારે આવીને ગલન થઈ જાય. ‘ફોરેન’માં હાથ ઘાલ્યો કે દાઝયા વગર રહે જ નહીં. અમે ‘ફોરેન’માં હાથ ઘાલીએ જ નહીં. કારણ કે આમ જે ફળ મળવાનું છે તે તો મળવાનું જ છે. ઉપરાંત એણે હાથ ઘાલ્યો તેનું ‘ડબલ’ ફળ મળે છે. બે ખોટ ખાય છે. આપણે એક જ ખોટ ખાવાની. ‘ચંદુભાઈ’ અસ્વસ્થ છે એવું ‘તમારે’ જાણ્યા કરવાનું, એ પા કલાક પછી ખલાસ થઈ જશે. ‘જોયા’ કરશો તો બે ખોટ નહીં જાય. પ્રશ્નકર્તા : અસ્વસ્થતાનો સમય જેટલો વધારે ખેંચાય એટલું વધારે આવરણ કહેવાય ? દાદાશ્રી : હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે. પણ ‘તમે’ શુદ્ધાત્મા તરીકે જોયા કરશો તો એ ગમે એટલું આવરણ હોય તોય એ ઝપાટાબંધ ઊડી જશે. એનો ઉકેલ આવી જાય ને એમાં પોતે હાથ ઘાલવા ગયો હોય તો મારીને માથાકૂટ ઊભી થાય. જ્ઞાનીનો અશાતા ઉદયપ્રશ્નકર્તા : વીતરાગ પુરુષોને શારીરિક દુઃખ આવે. દા. ત. આપને પગનું ‘ફ્રેક્ચર’ થયું, તો એમાં પોતે કેવી રીતે મુક્ત રહે ? વેદના તો બધાંને થાય એવી જ થાયને ? દાદાશ્રી : એમણે સ્વામીપણાના દસ્તાવેજ છે તે ફાડી નાખેલા હોય. ‘આ મન મારું છે’ એ દસ્તાવેજ ફાડી નાખેલો હોય. ‘બુદ્ધિ મારી છે, વાણી મારી છે’ એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. વાણીને એ શું કહે, ‘ઓરિજિનલ ટેપરેકોર્ડર’. આ દેહેય મારો છે એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. એટલે પછી શું કહે - ‘આ પબ્લિક ટ્રસ્ટ’ છે. એટલે પછી એમને અત્યારે દાઢ દુખતી હોય તો અસર થાય, પણ તેને ‘અમે’ ‘જાણીએ’, વેદીએ નહીં. જ્યારે (પા.૪૧)કોઈ અમને ગાળો ભાંડે, અપમાન કરે, પૈસાની ખોટ જાય તેની અમને જરાય અસર ના થાય. અમને માનસિક અસર બિલકુલ હોય નહીં. શરીરને લગતું હોય તો તે તેના ધર્મ મુજબ અસર બતાડે. પણ ‘અમે’ પોતે તેના ‘જ્ઞાતા-દ્રષ્ટા’ જ હોઈએ. એટલે અમને દુઃખ અડે નહીં. પ્રશ્નકર્તા : આને વીતરાગ પુરુષનું તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય કહેવાય ? કે એકલી તટસ્થતા કહેવાય ? દાદાશ્રી : અમને તાદાત્મ્ય બિલકુલ ના હોય. અમને આ દેહ જોડેય પાડોશી જેવો સંબંધ હોય એટલે દેહને અસર થાય તો અમને કંઈ અડે નહીં. મન તો અમને આવું હોય જ નહીં. એ કેવું હોય ? ક્ષણે ક્ષણે ફર્યા જ કરે. એક જગ્યાએ સ્થિર ના હોય. પ્રશ્નકર્તા : એટલે કે ‘પડોશી’ના દુઃખે પોતે દુઃખી ના થાય. દાદાશ્રી : કોઈનાય દુઃખે દુઃખી ના થાય. પોતાનો દુઃખનો સ્વભાવ જ નથી, ઊલટું એના સ્પર્શથી સામાને સુખ થઈ જાય. જગતમાં અધ્યાત્મ જાગૃતિપ્રશ્નકર્તા : છેલ્લાં પાંચ વર્ષથી લોકોમાં અધ્યાત્મ તરફની પ્રગતિ વધતી દેખાય છે, તો એ શું સૂચવે છે ? દાદાશ્રી : એ શું સૂચવે છે કે પહેલાં આધ્યાત્મિક વૃત્તિ સાવ ખલાસ થઈ ગઈ હતી, એટલે હવે વધતી દેખાય છે. આ બધું કાળના પ્રમાણે બરોબર જ છે. બીજું એ છે કે આ દુઃખો એટલાં બધાં વધવાનાં છે કે આમાંથી લોકોને નીકળવું મુશ્કેલ પડશે ! એટલે લોકોને વૈરાગ્ય આવશે. એમ ને એમ તો લોકો વલણ છોડે એવા નથીને ? પ્રશ્નકર્તા : એને સતયુગ કહેવામાં આવશે ? દાદાશ્રી : એ લોકોને જે યુગ કહેવો હોય તે કહે, પણ પલટો આવશે. સતયુગ તો ગયો, એ ફરી આવે નહીં. એટલે કળિયુગમાં જે ના દેખ્યું હોય એવા સુંદર સુંદર વિચારો દેખાશે ! (પા.૪૨)આજે મનુષ્યોની બુદ્ધિ જે ‘ડેવલપ’ થઈ રહી છે, એ દસ લાખ વર્ષમાં કોઈ દહાડોય કોઈ વખત થઈ નથી. આ બુદ્ધિ વિપરીત થઈ રહી છે પણ વિપરીત બુદ્ધિ પણ ડેવલપ છે, તેને સમ્યક્ થતાં વાર ના લાગે. પણ પહેલાં તો બુદ્ધિ ખાસ ‘ડેવલપ’ નહોતી. પ્રશ્નકર્તા : એટલા માટે જ પહેલાંના કાળમાં આત્મસાક્ષાત્કાર મેળવવા માટે ખૂબ લાંબી લાંબી તપશ્ચર્યા કરવી પડતી હતી. એનું કારણ એ જ ને ? દાદાશ્રી : એ જ હતું. અત્યારે બહુ તપશ્ચર્યા કરવી ના પડે. બધાં તપેલાં જ છે ! એક દીવાસળી સળગાવો તે પહેલાં ભડકો થઈ જાય. તપેલાંને શું તપાવવો ? નિરંતર તપ જ કર્યા કરે છે બિચારાં. અધ્યાત્મમાં ઈન્વેન્શનચોખ્ખા હૃદયવાળાને બહુ પૂછવાનું હોય નહીં અને એ ધર્મ બહુ પામે પણ નહીં. પ્રશ્નકર્તા : એટલે વાંકા લોકોને લાભ છે ખરો ? દાદાશ્રી : વાંકાને જ લાભ છે. હૃદયશુદ્ધિવાળા આમના જેવા મેં બધા બહુ જોયેલા. એમને હું કહું કે તમે તો સુખી જ છો, પછી તમારે શું ? તમે સીધા માણસો દુનિયાનું નુકસાન કરતા નથી. પણ આત્મદશાએ પહોંચતાં બહુ ટાઈમ લાગે, કારણ કે એમને ‘ઇન્વેન્શન’ બંધ રહે છે. એમનું ધીમું ધીમું ઈન્જીન ચાલ્યા કરે છે. આ હું કહું છું એવી વાત કોઈએ કરેલી જ ના હોય. સહુ કોઈ એમ કહે કે આ હૃદયશુદ્ધિવાળા જ ધર્મને પામે, આ બીજા ના ફાવે. હવે મારું શું કહેવાનું છે કે હૃદયશુદ્ધિવાળાને જરૂરિયાતની ચીજો મળી આવે એટલે બસ, થઈ રહ્યું. પછી એમનું ‘ઇન્વેન્શન’ બંધ થઈ જાય છે. પ્રશ્નકર્તા : પણ દાદા, એમની અંદર હૃદયની કે બુદ્ધિની જિજ્ઞાસા હોય તો થાય ? (પા.૪૩)દાદાશ્રી : ના, જિજ્ઞાસા હોય તોય ના થાય. એ તો ફક્ત બે-પાંચ જણ આવે. તેને સુધારે, સેવા બધાંની કરે અને પોતાનુંય ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : હવે એમને આત્મજ્ઞાનમાં જવું હોય તો શું થાય ? દાદાશ્રી : એ તો ધીમે ધીમે કો’ક ફેરો એવા સંજોગો ભેગા થશે, ત્યાં પાછું હૃદયમાં બીજું પેસી જશે ત્યારે માર ખાશે. ત્યારે પાછું ‘ઇન્વેન્શન’ ચાલુ થશે. આ મારું ‘ઇન્વેન્શન’ શાથી થયેલું છે ? માર ખાવાથી થયેલું છે. હું એવી એવી ખાઈઓમાંથી નીકળ્યો છું, એવા એવા ‘હીલ સ્ટેશન’ ઉપર ચઢ્યો છું... બીજું, મારે જગતની કોઈ ચીજ જોઈતી નથી, જગતમાં તમેય ચઢેલા છો. આ બધા જ ચઢેલા છે. પણ એમને જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય, પોતાનું નિરીક્ષણ ના હોય, ખાવામાં-પીવામાં, મસ્તીમાં તન્મયાકાર હોય. તેથી પેલું બધું ભૂલી જાય. અમારું નિરીક્ષણ કેટલાય અવતારનું છે ! એટલે આ મન-વચન-કાયાની બધી શક્તિ શેમાં જાય ? બધી સ્થૂળમાં વપરાયા કરે. જે કામ મજૂર કરી શકે તેમાં વપરાય. હવે એવી મારી શક્તિ જો કદી બગીચામાં વપરાય તો મારી શી ‘વેલ્યૂ’ રહે ? એક કલાકમાં તો કેટલું બધું કામ થઈ જાય ? સ્થૂળમાં શક્તિઓ વપરાય એટલે સૂક્ષ્મમાં ‘ઇન્વેન્શન’ બંધ થઈ જાય. સેવાભાવી થયા એટલે ત્યાંથી એ લાઈનમાં એને ‘ઈન્ટરેસ્ટ’ પડ્યા કરે. જ્યાં હોય ત્યાં ‘આવો પધારો, પધારો’ મળ્યા કરે. એટલે પ્રગતિ બંધ થઈ જાય. ‘ઇન્વેન્શન’ ક્યારે થાય છે ? માથામાં ત્રણ તમાચા મારે ને ત્યારે આખી રાત જાગીને ‘ઇન્વેન્શન’ ચાલે. પ્રશ્નકર્તા : દાદા, સીધા, સરળ ને સેવાભાવી માણસોનો વિકાસ ખરાબ માણસો કરતાં કેમ ઓછો પડી જાય છે ? દાદાશ્રી : ખરાબ માણસોનો વિકાસ થાય જ નહીં. પણ ખરાબ માણસની ખરાબી વધતી જાય પછી એને માર પડે. ત્યારે એનું ‘ઇન્વેન્શન’ ચાલે. ત્યાર બાદ ખરાબ માણસ પેલા સીધા માણસ કરતાં આગળ વધી (પા.૪૪)જાય અને પેલો સીધો માણસ ધીમે ધીમે આગળ વધ્યા કરતો હોય. એનું તો બે કલાકેય બોરસદ ના આવે ! એને કંઈ અડચણેય ના આવે. ભૂલો પડ્યો, કંઈ ના જડ્યું, ત્યારે ‘ઇન્વેન્શન’ થાય. કુદરતનો નિયમ એવો છે કે જેટલા મોક્ષે ગયેલા, તેમાંથી એંસી ટકા નર્કે ગયા પછી જ મોક્ષે જાય છે ! નર્કમાં ના ગયો હોય તો મોક્ષે જવા ના દે ! માર પડવો જ જોઈએ. ખાવાનું, પીવાનું બધું મળ્યા કરે, ‘આવો પધારો, પધારો’ બધાં કરે તો ‘ઈન્વેન્શન’ અટકી જાય. પ્રશ્નકર્તા : ઘણાંને એમ લાગે કે ‘હું ધર્મને રસ્તે જ જઈ રહ્યો છું.’ મારે બીજું કશું જાણવાની જરૂર નથી. એ શું ? દાદાશ્રી : દરેક પોતપોતાની ભાષામાં આગળ જઈ જ રહ્યા છે. પણ ધર્મ શેને કહેવો એ સમજવું બહુ મુશ્કેલ છે. આ જગતમાં જે ચાલે છે એ ધર્મ ‘રિયલ’ ધર્મ નથી, ‘રિલેટિવ’ ધર્મ છે. તે રિલેટિવ ધર્મમાં જઈ રહ્યા છે. આખો દહાડો ધર્મ જ કર્યા કરે છેને ? સીધા માણસને સેવાભાવ એટલે જ ધર્મ લાગે. સેવાભાવ એટલે કોઈને સુખ આપવું, કોઈની અડચણો દૂર કરવી, એનું નામ ધર્મ. પણ તે ખરો ધર્મ નથી ગણાતો. જ્યાં ‘હું કરું છું’, ‘હું કર્તા છું’, ‘હું ભોક્તા છું’- જ્યાં સુધી આ ‘હુંપણું છે’, ત્યાં સુધી સત્ધર્મ નથી ઉત્પન્ન થતો. આ લૌકિક ધર્મ ઉત્પન્ન થાય. અલૌકિક ધર્મ તો માર ખાય ને તો જ મહીં ‘ઇન્વેન્શન’ થાય. નહીં તો શી રીતે ‘ઇન્વેન્શન’ થાય ? આત્મા જડે એવો જ નથી કોઈને, ફક્ત તીર્થંકર સાહેબોને જડેલો ! જગતે જે આત્મા માન્યો છે તેવો આત્મા નથી. આત્મા સંબંધી જે જે કલ્પનાઓ કરેલી છે તે બધી કલ્પિત છે. પણ જે છે એમની ભાષામાં એમને માટે બરોબર છે. કુદરતે એમને માટે હિસાબ ગોઠવેલા છે, તે પ્રમાણે ભોગવે છે. શાસ્ત્રોમાં આત્માનું શબ્દજ્ઞાન આપેલું છે તે સંજ્ઞા જ્ઞાન છે. જો સંજ્ઞા જ્ઞાની પાસેથી સમજી જાય તો આત્માની પ્રતીતિ થાય અને છેવટે કેવળજ્ઞાન થાય. (પા.૪૫)મોક્ષના હક્કદારપ્રશ્નકર્તા : મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેક માનવીનો હક્ક છે ? દાદાશ્રી : મોક્ષ પ્રાપ્તિનો દરેક માનવીનો નહીં, દરેક જીવનો હક્ક છે. કારણ કે દરેક જીવ સુખને ખોળે છે. એ સુખ ‘આમાં મળશે, આમાં મળશે’ એવી આશામાં ને આશામાં અનંત અવતારથી ભટક ભટક કરે છે. તે કાયમનું સુખ ખોળે છે. કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. આ ‘ટેમ્પરરી’ સુખ, સુખ જ ના કહેવાય. આ તો બધી ભ્રાંતિ છે, આરોપિત ભાવ છે. જો શ્રીખંડમાં સુખ હોય ને તમે શ્રીખંડ ખાઈને આવ્યા હો, તો તે તમે ખાવ ? તમને તે દુઃખદાયી થઈ પડેને ? માટે એમાં સુખ નથી. જેવું આરોપણ કરો તેવું સુખ. એટલે મોક્ષપ્રાપ્તિનો દરેક જીવને અધિકાર છે. પ્રશ્નકર્તા : આ માર્ગે જવા માટે જ્ઞાનીના ચરણે બેસવું, એ રાહ છે ? દાદાશ્રી : જ્ઞાની પોતે મુક્ત છે, માટે આપણને તે મુક્ત કરી શકે. સંસારની કોઈ ચીજમાં એ ના રહે માટે આપણને એ સર્વ રીતે મુક્ત કરી શકે. જેને જેને ભજીએ તેવા રૂપ થઈએ. જ્યાં અહંકાર ના હોય ત્યાં આગળ તમે બેસી રહો તો તમારો અહંકાર જાય. અત્યારે તમારા મનમાં એમ છે કે લાવ, દાદાની પાસે બેસી રહું. પણ પાછલા જે સંસ્કારો છે, ‘ડિસ્ચાર્જ’ સંસ્કારો છે તેનો ઉકેલ તો લાવવો પડશેને ? એનો ઉકેલ આવતો જશે તેમ આ પ્રાપ્તિ થતી જશે. ભાવના તો એ જ રાખવી કે નિરંતર જ્ઞાનીના ચરણમાં જ રહેવું છે. પછી સર્વ મુક્તિ થાય. અહંકારની મુક્તિ જ થઈ જાય ! ઉઠાવી લ્યો આ છેલ્લી તક !પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ ના મળે તો શું કરવું ? માથું ફોડીને મરી જવું ? દાદાશ્રી : ના, એવું કોઈ મરવાનું કહેતા જ નથી અને મર્યું મરાય એવુંય નથી. (પા.૪૬)પ્રશ્નકર્તા : તો પછી જગતે શું કરવું ? દાદાશ્રી : કશું ના કરવું. જે કરતા આવ્યા છે તે જ કર્યા કરે છે. પ્રશ્નકર્તા : એવા કોઈ ઉપદેશકો ના નીકળ્યા કે જે દેખાડે, જ્ઞાની ના હોય તો આટલું કરજો એમ દેખાડે ? દાદાશ્રી : અત્યારે શાના ઉપદેશકો ખોળો છો ? આ કળિયુગ આવ્યો. હવે છે તે લૂંટાઈ જવાનો વખત આવ્યો ત્યારે ઉપદેશક ખોળે છે ? અંધારું ઘોર થવાનો હવે તો વખત આવ્યો. અત્યારે હવે ચોક્સીની દુકાન ઊઘડે ? જ્યારે ચોક્સીની દુકાન ઊઘાડી હતી ત્યારે માલ લીધો નહીં. હવે જગતને માલ અપાવવા નીકળ્યા છો ? હવે તો ભયંકર યાતનાઓ અને ભયંકર પીડામાંથી સંસાર પસાર થશે. આ તો છેલ્લું અજવાળું આ ‘અક્રમ વિજ્ઞાન’નું છે. તેમાં જેનું કામ થઈ ગયું એનું થઈ ગયું. બાકી રામ તારી માયા ! આયુષ્યનું એક્સટેન્શન !પ્રશ્નકર્તા : ‘સચ્ચિદાનંદ સ્વરૂપ’ કોઈ મહાત્મા હોય, બ્રહ્મનિષ્ઠ કોઈ મહાત્મા હોય, તો તે પોતાનું આયુષ્ય લંબાવી શકે ખરા કે ? દાદાશ્રી : આયુષ્ય લંબાવી શકું છું એવું જે કહે છે એ એક જાતનો અહંકાર છે. કુદરતનું એના આયુષ્યનું જે પ્રમાણ છે એ પ્રમાણના આધારે એને પોતાને એમ લાગે છે કે હું આયુષ્ય વધારીશ તો વધશે. આયુષ્ય વધવાનું છે એટલે એને આ જાતનો ‘ઇગોઈઝમ’ ઊભો થાય છે. બાકી કોઈ કંઈ વધારી શકે નહીં. આ જગતમાં કોઈના હાથમાં સંડાસ જવાની શક્તિ નથી. પ્રશ્નકર્તા : વિધાતાને ‘સત્પુરુષ’ ફેરવી શકે ? દાદાશ્રી : કશું ફેરવી ના શકે. વિધાતા આમને ફેરવે છે ! કોઈ કશું ફેરવી ના શકે. ખાલી ‘ઈગોઈઝમ’ છે આ બધો ! આવું તો ચાલ્યા કરે છે. આપણે કોઈને ખોટા ના કહેશો; કારણ કે એ તમારી ઉપર (પા.૪૭)ચીડાશે તો ઊંધો ખેલ કરશે ને વેર બાંધશે. માટે એમને તો કહેવું કે ‘સાહેબ, તમે બરોબર છો, તમારી વાત અમને ગમી !’ એમ કરીને આપણે આગળ ચાલ્યા જવું. આનો પાર જ નહીં આવે. તમે એમને ‘સારા છો, ખોટા છો’ કહેશો, તો એ તમને છોડશે નહીં. તમારી જોડે ને જોડે ફર્યા કરશે. પ્રશ્નકર્તા : ઈશ્વરની પ્રાપ્તિ સત્પુરુષની કૃપા વગર થાય એમ નથી. એ સત્પુરુષ છે, તો પછી એ વિધાતાને કેમ ટાળી ના શકે ? દાદાશ્રી : જો એ વિધાતાને ટાળી શકે એમ હોય તો તો એનું સત્-પુરુષપણું જાય. સિદ્ધિઓ વપરાઈ જાય. સત્પુરુષને બહુ બધી, પાર વગરની સિદ્ધિઓ હોય. પ્રશ્નકર્તા : તો પછી એમને એની સ્થિતિ ભોગવવી પડે ખરી ? દાદાશ્રી : ભોગવ્યે જ છૂટકો. ભગવાન મહાવીરના શિષ્ય ગોશાળાએ તેમના બે શિષ્યો પર તેજોલેશ્યા ફેંકી બાળી મૂક્યા હતા. ત્યારે એમના બીજા શિષ્યોએ કહ્યું કે, ‘સાહેબ ! આમની જરા તપાસ તો રાખો.’ ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, ‘હું મોક્ષનો દાતા છું. જીવનનો દાતા હું નથી. હું કોઈનો રક્ષક નથી.’ પ્રશ્નકર્તા : કેટલાક મરી ગયેલાઓને કેટલાક મહાપુરુષોએ લાકડા પર જીવ મૂકીને ઊભા કર્યાં છે, તો એ કઈ શક્તિ છે ? દાદાશ્રી : એવું છે ને કે જીવ મૂકીને ઊભા કર્યા હોય તો પોતે મરે જ નહીં ને કોઈ દહાડોય ! આ દુનિયામાં જીવ મૂકનારો કોઈ પાક્યો જ નથી. જે મૂકે છે તે નૈમિત્તિક છે. એવું મારા નિમિત્તે ઘણું બને છે. હું કબૂલ કરું કે હું નિમિત્ત છું. આમાં ખોટું માની ના લેશો. પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ કે હકીકતમાં પેલો મર્યો જ નહોતો એવું ને ? દાદાશ્રી : બરાબર છે. પેલો મર્યો જ નહોતો. ભયના માર્યા કે (પા.૪૮)કોઈ એવાં કારણોસર અહીં આટલામાં (બ્રહ્મરંધ્રમાં) કંઈક થઈ જાય, તેને પેલા લોકો ઉતારી શકે. પ્રશ્નકર્તા : જે મહાત્માને નિર્વિકલ્પ સમાધિ હોય, તો એ આત્મા કઈ રીતે દેહમાંથી બહાર જાય ? દાદાશ્રી : નિર્વિકલ્પ સમાધિ હોય એનો આત્મા આ દેહમાંથી છૂટો થાય, તે આખા બ્રહ્માંડમાં પ્રકાશ આપીને જાય. આખા બ્રહ્માંડમાં પ્રકાશે. પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિમાં આખા બ્રહ્માંડને પ્રકાશીને આ આત્મા ગયો એના ચિહ્નો શું ? એની ખબર કેવી રીતે પડે ? દાદાશ્રી : એ તો ‘જ્ઞાની પુરુષ’ ઓળખે અગર તો એને મહાવીર ઓળખે. પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ’ એને કેવી રીતે ઓળખે ? દાદાશ્રી : ‘જ્ઞાની’ તો તરત જ, એમને જોતાંની સાથે જ ઓળખી લે. એમને તો એ સ્વાભાવિક છે. દરેક પોતપોતાના સ્વભાવને તરત જ ઓળખી લે. મૃત્યુ સમયની અવસ્થાઓ...પ્રશ્નકર્તા : મૃત્યુ વખતની અવસ્થા સમજાવો. કોઈની આંખો ખુલ્લી રહે, કોઈને ઝાડો-પેશાબ થઈ જાય. દાદાશ્રી : છેલ્લી વખતે ‘જ્ઞાની’ને આવું કશું થતું નથી. જ્ઞાનીનો આત્મા ઇન્દ્રિયો થકી જતો નથી. એ જુદી જ રીતે બહાર જાય છે. બાકી જે સંસારી લોકો છે, જેને ફરી ભટકવાનું છે તેમનો આત્મા ઇન્દ્રિયો થકી જાય છે. કોઈને આંખ થકી, કોઈને મોઢા થકી, ગમે તે કાણામાંથી નીકળી જાય. પવિત્ર કાણામાંથી નીકળે તો બહુ સારું અને જગત જેને અપવિત્ર કહે છે તેવા કાણામાંથી નીકળે તો ખોટું કહેવાય. અધોગતિમાં લઈ જનારું હોય અને કેટલાક સંતો પહેલાં માથે નાળિયેર વધેરાવતા (પા.૪૯)હતા. શિષ્યને કહી રાખ્યું હોય કે મારે હવે માંદગી છે. માટે નાળિયેર મારા ટાલકામાં ફોડજે. એ તો બહુ અધોગતિનું કહેવાય. અહીં રહીને આત્મા કાઢવા માટે પ્રયત્ન કર્યો. આ તાળવું એ તો દશમસ્થાન કહેવાય. ત્યાંથી સહજ સ્વભાવે આત્મા નીકળે તો તેનો પ્રકાશેય જુદી જાતનો હોય. આખા બ્રહ્માંડમાં એ પ્રકાશ ફેલાય. પ્રશ્નકર્તા : અજ્ઞાનીઓને પણ એ પ્રકાશ દેખાય ખરો ? દાદાશ્રી : ના, ના. અજ્ઞાનીને એ ના દેખાય. જ્ઞાનીઓને બધું દેખાય. અજ્ઞાનીને તો આ જ દેખાય, મારી વાઈફ, મારી સાસુ, મારો મામો, આ જલેબી-લાડવા, એ જ બધું દેખાય. પ્રશ્નકર્તા : સમાધિમરણમાં શરીરની પીડા ના હોયને ? દાદાશ્રી : આ શરીરની પીડા હોય તોય સમાધિમરણ થાય. પક્ષાઘાત થયેલો હોય તોય માણસને સમાધિમરણ થાય. સમાધિમરણ એટલે શું કે છેલ્લો કલાક આ દાદા દેખાવા માંડ્યા અને કાં તો ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન રહ્યું, એ એનું સરવૈયું આવીને ઊભું રહ્યું. પ્રશ્નકર્તા : તો એ અવસ્થામાં દુઃખ ના વર્તે ને ? દાદાશ્રી : સમાધિમરણમાં પોતાને કોઈ જાતનું દુઃખ જ ના હોય. છેલ્લો એક કલાક સમાધિ જ હોય. આપણા અહીં જ્ઞાન લઈને જેટલા માણસો અત્યાર સુધીમાં મર્યા છે એનાં સમાધિમરણ થયાં છે, પુરાવા સહિત. પ્રશ્નકર્તા : છેલ્લા કલાકમાં જો રૌદ્રધ્યાન થાય તો માણસ બધું ચૂકી જાય ? દાદાશ્રી : તો તો પછી બધું ખલાસ થઈ ગયું કહેવાય. રૌદ્રધ્યાન તો શું, પણ આર્તધ્યાન થાય તોય ખલાસ થઈ ગયું. ‘મારે હવે પાંચમી છોડી પૈણાવાની રહી ગઈ’ એવું થાય તો એ આર્તધ્યાન થયું કહેવાય. તેનાથી જાનવરમાં જાય. (પા.૫૦)પ્રેતયોનિપ્રશ્નકર્તા : આ અવગતિયો જીવ બીજામાં જાય ને પોતાની ઇચ્છા પૂરી કરે, એ શું છે ? દાદાશ્રી : એવું છે આ ભૂતો હેરાન નથી કરતાં ? ભૂતો એ દેવલોક છે. એમની જોડે તમારે સવળું ઋણાનુબંધ હોય તો ફાયદો કરી આપે, ને અવળું હોય તો હેરાન કરે અને જે જીવોને મરણ પછી તરત જ બીજો સ્થૂળ દેહ મળતો નથી, તેને પછી ભટકભટક કરવું પડે. બીજો દેહ ના મળે ત્યાં સુધી પ્રેતયોનિ કહેવાય. હવે ખોરાક વગર ચાલે નહીં એટલે એને બીજાના દેહમાં પેસીને ખોરાક લેવો પડે. પ્રશ્નકર્તા : કોઈ જપ, તપ, માળા એવું તેવું કરતા હોય તોય એને ભૂત વળગે ? દાદાશ્રી : એવો કાયદો નથી, પણ તમારો હિસાબ હોય, તમે કોઈને છંછેડ્યા હોય ને એ જ અવગતિયો થાય તો એ તમને વેર વાળ્યા વગર રહે જ નહીં. પ્રશ્નકર્તા : કોઈ હનુમાનચાલીસા, ગાયત્રી કે બીજા કોઈ જપ કરતું હોય, તો તેની અસર શું એના પર થાય ? દાદાશ્રી : હા, એનાથી ફાયદો થાય. એનાથી એ દૂર રહે. આ નવકાર મંત્ર પણ જો પદ્ધતિસર બોલે તોય ખસી જાય. પ્રશ્નકર્તા : અમને દેવલોક દેખાડોને ? દાદાશ્રી : એમાં શું ફાયદો ? આપણે આપણા આત્માનું કરી લોને ? એ જોવામાં મઝા નથી. અનંત અવતારથી ભટકભટક કરીએ છીએ. ત્યાંય ગયા છીએ ને અહીંય આવ્યા છીએ. એમાં શું જોવાનું ? દેવલોકને ઇન્દ્રિયસુખ પાર વગરનાં હોય. તે એ લોકોય કંટાળી ગયા છે. તે લોકો પણ કયારે એમનો દેહ છૂટશે એની રાહ જુએ છે. લાખ- લાખ વરસનું એમને આયુષ્ય હોય તે શી રીતે દેહ છૂટે ? આપણે અહીં લગ્નમાં એક મહિનો તમને રાખે ને રોજ જમણ આપે તો તે (પા.૫૧)તમને ફાવે ખરું ? તમે ત્યાંથી ભાગી જાવ ને ? એવું દેવલોકોનેય ત્યાં નથી ફાવતું. સિદ્ધાત્મા ને સિદ્ધપુરુષોપ્રશ્નકર્તા : સિદ્ધપુરુષો હોય એમનું અમુક સર્કલ હોય તે પૃથ્વી પર હોય કે નજીકના ગ્રહમાં હોય તો એ પૃથ્વી પરના લોકોને માર્ગદર્શન આપે એવું ખરું કે ? દાદાશ્રી : સિદ્ધો માર્ગદર્શન આપે નહીં. માર્ગદર્શન આપનારા સંસારી. એને સંસારી સિદ્ધ કહેવાય-લૌકિક ભાષામાં. પ્રશ્નકર્તા : એમને કંઈ કરવાનું નહીં ? દાદાશ્રી : સિદ્ધ તો સંપૂર્ણ ભગવાન થઈ ગયેલા હોય તે. તે અહીં હોય નહીં. અહીં દેહધારીરૂપે કોઈ સિદ્ધ હોય નહીં. આ જે સિદ્ધની વાત છે તે તો લૌકિક વાત છે. પ્રશ્નકર્તા : સિદ્ધનું પણ જગત ખરું ને ? દાદાશ્રી : એમનું સિદ્ધક્ષેત્ર છે. એ અહીં કોઈ દહાડોય હોય નહીં. પ્રશ્નકર્તા : એ સિદ્ધો દેહધારી ના હોય ? દાદાશ્રી : એ દેહધારી ના હોય. એ તો પરમાત્મા કહેવાય અને આ સિદ્ધો તો માણસો કહેવાય. તમે તેમને ગાળ ભાંડો તો એ ફરી વળે, નહીં તો તમને શાપ આપે. પ્રશ્નકર્તા : સિદ્ધની જે વાત છે એ તો પ્રકાશ અથવા તેજ સ્વરૂપે છે ને ? દાદાશ્રી : હા. તેજ સ્વરૂપે હોય. એમને એક જ શબ્દ, કેવળ હોય. એમનું સ્વરૂપ તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન, અનંત સુખ ને પરમ જ્યોતિ સ્વરૂપ હોય, સ્વ-પર પ્રકાશક હોય. તે પોતાને પ્રકાશ કરે ને આખા બ્રહ્માંડને પ્રકાશે. (પા.૫૨)શુદ્ધાત્માનું દર્શનપ્રશ્નકર્તા : શુદ્ધાત્માને કેવી રીતે જોઈ શકાય ? દાદાશ્રી : એવું છેને કે શુદ્ધાત્મા જોવો એનો અર્થ શું છે ? આ સોનાની દાબડી છે, એની મહીં મૂકેલો હીરો એક ફેરો ખોલીને હું બતાડી દઉં. પછી દાબડી વાસી દઉં, તેથી કરીને કંઈ હીરો જતો રહ્યો નથી. આપણા લક્ષમાં રહે કે એમાં હીરો જ છે. કારણ આપણે તેને જોયો હતો. વળી આપણી બુદ્ધિએ તે દહાડે ‘એક્સેપ્ટ’ કરેલું છે. અમે જ્ઞાન આપીએ તે ઘડીએ તમારા મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાંએ ‘એક્સેપ્ટ’ કરેલું છે. ત્યારપછી શંકા ઊભી થતી જ નથી. પ્રશ્નકર્તા : તમે રસ્તો બતાવ્યો, પણ એ રસ્તે અમે ના ચાલીએ તો શું થાય ? દાદાશ્રી : ના ચાલે એવું બને, પણ જવાની પોતાની ઇચ્છા જોઈએ. પોતાને નથી જવું તો એ ઊંધે રસ્તે જાય, પણ પોતાને જવું જ છે ને બીજાં કર્મો અંતરાય કરતાં હોય તેનો વાંધો નથી. પોતાને જવું છે એવું નક્કી હોય તો ‘જ્ઞાની પુરુષ’ના આશીર્વાદ વર્ત્યા કરે. કર્મો લાખ આવશે તો ય ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી તે ઊખડી જશે, પણ જેને પોતાને જ વાંકું કરવું હોય તેનો ઉપાય નથી. પ્રશ્નકર્તા : ‘શુદ્ધાત્મા’નું લક્ષ ના જાય તો એ ‘સમભાવે નિકાલ’ કર્યો કહેવાય ? દાદાશ્રી : બીજી વસ્તુમાં ‘ઇન્ટરેસ્ટ’ હોય તો શુદ્ધાત્માનું લક્ષ ચૂકી જવાય. આપણને જે વસ્તુમાં રસ હોય તો તે વસ્તુ બાઝયા વગર તો રહે જ નહીં ને ! કઢી ઢળી ગઈ હોય તોય બૂમાબૂમ કરી મૂકે. કારણ એને એમાં ‘ઇન્ટરેસ્ટ’ છે. છેવટે આ રસ જ કાઢી નાખવાના છે, વસ્તુ કાઢવાની નથી. વસ્તુ કાઢવાથી જાય નહીં. જગત આખું વસ્તુ કાઢવાની માથાકૂટ કરે છે. અલ્યા, વસ્તુ ના જાય, એ તો લમણે લખેલી છે. વસ્તુ પ્રત્યેનો રસ કાઢવાનો છે. (પા.૫૩)પ્રશ્નકર્તા : ક્રમિક અને અક્રમમાં ફરક તો ગુરુકૃપા જ છે ને ? દાદાશ્રી : હા, ગુરુકૃપા જ છે બસ. અહીં તો ગુરુ જેવી કોઈ વસ્તુ જ ના હોય. ગુરુ એટલે કોણ ? ગુરુ કોને કહેવાય ? કે જે ગુરુકિલ્લી સહિત હોય. તો એ ગુરુ તમને તારે અને ગુરુકિલ્લી વગર હોય એટલે એ ગુરુ ભારે કહેવાય. ભારે એટલે પોતે ડૂબે અને આપણને ડૂબાડે. બાકી અહીં તો ગુરુની જ જરૂર નહીં. મને કેટલાક લોકો પૂછે છે કે અમે પહેલાં ગુરુ કરેલા છે તો તેને અમારે છોડી દેવાના ? ત્યારે હું એમને કહું છું, ‘ના એ રાખવાના.’ વ્યવહારના ગુરુ તો જોઈએ જ ને ? અને અહીં તો અક્રમમાં ભગવાનની સીધી જ કૃપા ઊતરે છે ! ચૌદ લોકના નાથની સીધી જ કૃપા ઉતરે છે. પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રગટ થાય ત્યારે શું થાય ? દાદાશ્રી : જ્ઞાન પ્રગટ થાય એટલે કોઈ જગ્યાએ ઠોકર ના વાગે ! પ્રશ્નકર્તા : અને અંદરમાં શું ફરક પડે ? દાદાશ્રી : અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. દુઃખ, ચિંતા કશું જ સ્પર્શે નહીં ! પ્રશ્નકર્તા : જે જીવને આત્મસાક્ષાત્કાર થયો હોય, એ જીવ બીજા જીવને આત્મસાક્ષાત્કાર થયો છે કે નહીં એ પારખી શકે કે નહીં ? દાદાશ્રી : પારખી શકે ને ! એવું છે ને, આપણે શાકબજારમાં શાક લેવા જઈએ છીએ ત્યારે ‘કયું શાક સારું છે’ એ પારખી લઈએ છીએ ને એવું આય ખબર પડી જાય. પ્રશ્નકર્તા : તમે જ્યારે ભગવાન કહો છો ત્યારે કોને અભિપ્રેત કરતા હો છો ? મહાવીરને ? દાદાશ્રી : ના, મહાવીરને નહીં. ભગવાન એટલે જે અંદર આત્મા છે, તે પરમાત્મા સ્વરૂપે છે. જે આત્માને આપણે પરમાત્મા કહીએ છીએ, મહાવીરેય તે જ છે. મહાવીર નામધારી છે. નામધારીનું હું કહેવા માંગતો (પા.૫૪)નથી. નામધારી આવે તો એકને ગમે ને બીજાને આધાશીશી ચઢે. મૂળ ભગવાનથી આધાશીશી ના ચઢે ! પ્રશ્નકર્તા : ‘પંચમ દીવો’ શુદ્ધાત્મા ‘સાધાર’. તે કેવો સાધાર કહેવા માંગે છે ? દાદાશ્રી : અત્યાર સુધી ચેતનનો આધાર ‘પુદ્ગલ’ હતું, હવે ચેતનનો ‘શુદ્ધાત્મા’ આધાર થયો. એટલે પોતે પોતાનો જ આધાર થયો, હવે પુદ્ગલના આધારે નથી. જગત આખું પુદ્ગલને આધારે છે. વાસણમાં ઘી ભર્યું હોય ને પેલા પંડિતને વિચાર આવે કે પાત્રના આધારે ઘી છે કે ઘીના આધારે પાત્ર છે. આવો વિચાર પંડિતને આવે, બીજા અબુધ લોકોને ના આવે. પંડિતનું ભેજું ફળદ્રુપ ખરું ને ! તે પંડિતે તપાસ કરવા વાસણ ઊંધું કર્યું, ત્યારે એમને સમજાયું કે ઓહોહો ! આ તો વાસણના આધારે ઘી હતું. તેવી રીતે આ લોકોને પુદ્ગલના આધારે આત્મા રહેલો છે. પોતે પોતાના આધારે થાય, ‘હું’ પુદ્ગલના આધારે નહીં, એવું સમજાય ત્યારે શુદ્ધાત્મા ‘સાધાર’ થાય ! પુદ્ગલના આધારીને ભગવાને નિરાધાર કહ્યું, અનાથ કહ્યું અને આત્માના આધારીને સનાથ કહ્યું. સાધાર થઈ ગયા પછી કશું બાકી જ ના રહ્યું ને. હવે ચંદુલાલને કોઈ ગાળ ભાંડે ત્યારે તમારે ‘ચંદુલાલ’ને કહેવું કે, ‘ચંદુલાલ’, તમને ગાળ ભાંડે છે પણ અમે તમને મદદ કરીશું.’ આવી ‘પ્રેક્ટિસ’ પાડી રાખવી. આ ટેટા ફોડવા હોય, હવાઈ ફોડવી હોય તો ‘પ્રેક્ટિસ’ ના કરવી પડે ? નહીં તો દઝાઈ મરીએ ને ! દરેકમાં પ્રેક્ટિસ કરવી પડે. હવે કોઈ તમને ટૈડકાવે તો તે ‘ચંદુલાલ’ને ટૈડકાવે. તે ‘તમને’ તો કોઈ ઓળખતો જ નથી ને ? પ્રશ્નકર્તા : ‘માય’ આત્મા કહે છે એટલે એ ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહેવાય ને ? દાદાશ્રી : ના, એ ‘જ્ઞાન’ લીધા પછી ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહેવાય. (પા.૫૫)આપણે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે ‘શુદ્ધાત્મા’ અને ‘પ્રતિષ્ઠિત આત્મા’, એમ બે વિભાગ પડે છે. આપણે ‘શુદ્ધાત્મા’ થયા ને બીજો ભાગ શું રહ્યો? ‘પ્રતિષ્ઠિત આત્મા’. આપણે પ્રતિષ્ઠા કરીને ઊભું કરેલું કે, ‘આ હું છું, આ હું છું.’ તેનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયેલો. તે હવે ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે રહે છે. જેને જ્ઞાન ના હોય, એ પણ ‘મારો આત્મા-મારો આત્મા પાપી છે’ એવું તેવું બધું બોલે છે તે પણ પ્રતિષ્ઠિત આત્મા છે. પણ તેમને ‘શુદ્ધાત્મા’ અને ‘પ્રતિષ્ઠિત આત્મા’નો ભેદ પડેલો હોતો નથી. પ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે એવું ભાન થાય. તો એ અપૂર્વ અવસરને વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : અપૂર્વ અવસર એટલે પૂર્વે કોઈ કાળેય નહીં આવેલો એવો અવસર. એમાં પોતાની જાતનું ભાન પ્રગટ થાય. એ અપૂર્વ અવસર કહેવાય. પ્રશ્નકર્તા : આ જીવો ક્યાંથી પેદા થયા ? દાદાશ્રી : એ પેદા થયા જ નથી. આત્મા અવિનાશી છે, કાયમને માટે છે. અવિનાશી પેદા થાય જ નહીં. જેનો નાશેય ના હોય તે પેદાય ના થાય. આ દેખાય છે તે બધી ભ્રાંતિ છે. આ અવસ્થાઓ છે, અવસ્થાઓનો નાશ થાય છે. ઘૈડપણની અવસ્થા, યુવાનીની અવસ્થા એ બધી નાશ થયા કરે, એમાં આત્મા હતો તેનો તે જ રહ્યા કરે છે. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે ને ? દાદાશ્રી : એવું છે કે આ ‘ફોરેન’વાળાને, મુસ્લિમોને પાછો આવતો નથી, પણ તમારો પાછો આવે છે ! એટલી તમારા ઉપર ભગવાનની કૃપા છે ! અહીં મર્યો ત્યાં બીજી યોનિમાં પેસી ગયો હોય. ‘ફોરેન’વાળાનો આત્મા પાછો નથી આવતો એ ખરેખર એવું નથી. એ તો એમની માન્યતા એવી છે કે અહીંથી મર્યો એટલે મર્યો ! ખરેખર પાછો જ આવે છે પણ એમને સમજણ પડતી નથી. એ લોકો પુનર્જન્મને જ સમજતા નથી. પ્રશ્નકર્તા : એવો કોઈ પ્રસંગ બને કે આપણી બહેન કે વાઈફને (પા.૫૬)કોઈ ઉઠાવી જતું હોય તો આપણે શું કરવાનું ? વીતરાગ રહેવાનું ? જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ? દાદાશ્રી : તમારા હાથમાં જ ક્યાં છે તે ? આ ‘ડિસ્ચાર્જ’ છે. તે વખતે શુંનું શુંય થઈ જાય ! શુંને શુંય ગાળો દઈ દો ! એ તો અમારું ઉઠાવી જાય તો અમે વીતરાગભાવે રહીએ. તમારું તો ગજું જ નહીં ને? તમે તો હાલી ઊઠો. પ્રશ્નકર્તા : આપણી પાસે ‘ટાઈમ’ હોય, ઇચ્છા હોય છતાં આળસ થાય એમ કેમ ? દાદાશ્રી : બે જાતના લોક હોય છે. કામમાં આળસ કરે એવા લોક હોય છે અને કામમાં રઘવાટ કરે એવા લોક હોય છે. રઘવાટવાળામાં ય ભલીવાર ના આવે. ‘નોર્માલિટી’માં રહે એ સારું. તમારે તો ‘ચંદુલાલ’ને ઠપકો આપવો : ‘તમે આવી આળસ કેમ કરો છો ? વગર કામના ટાઈમ બગાડો છો.’ આપણે ‘ચંદુલાલ’ને ઠપકો આપીએ, એને જેલમાં ન ઉતારી દેવાય કે ઉપવાસ ઉપરેય ન ઉતારી દેવાય. ખાઓ-પીઓ પણ ઠપકો આપવાનો. પ્રશ્નકર્તા : આપણી સામે જે કામ આવે તે કરવું તો પડે ને ? દાદાશ્રી : એ વાતો એની મેળે થઈ જ જાય. એને પપલાવાની જરૂર નથી. આપણે મુશ્કેલીઓને પપલાયા કરીએ કે, ‘ના, મારે તો જોવું જ પડે ને’, તો તે ચઢી બેસે ! કામ તો તમારું થઈ જ જશે. તમે એને ‘જોયા’ કરો ને તે તો નિયમથી થઈ જાય. એટલા બધા ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા) છે કે તમારે કશી માથાકૂટ ના કરવી પડે. ફક્ત તમારે એવી ભાવના રાખવાની કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું છે. વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો જોઈએ. પ્રશ્નકર્તા : આ જ્ઞાનનો અપચો એટલે શું ? એનાં લક્ષણ શું ? દાદાશ્રી : અપચો એટલે અજીર્ણ. (પા.૫૭)પ્રશ્નકર્તા : એને અટકાવવાના ઉપાય શું ? એનાં લક્ષણો શું ? આપનું જ્ઞાન લીધા પછી અપચો થાય ખરો ? દાદાશ્રી : કો’કને જ થઈ જાય. બધાને ના થાય. જ્ઞાનનું અજીર્ણ થયું કોને કહેવાય કે એક પક્ષમાં પડી જાય. વ્યવહારમાં કાચો પડી જાય. કોલેજોમાં જાય નહીં, જાય તો ધ્યાન આપે નહીં. ‘આપણે તો આત્મા છીએ, આત્મા છીએ’ એમ કર્યા કરે. એટલે આપણે સમજીએ કે અજીર્ણ થયું છે. અજીર્ણ થયું કોને ના કહેવાય ? વ્યવહારમાં ‘કમ્પ્લીટ’ હોય. પોતાની બધી ફરજો બજાવવી પડે ને એ ફરજો બધી ફરજિયાત છે. તેમાં આવા અવળા ભાવ કરો તો એ ચાલે નહીં. પ્રશ્નકર્તા : સર્વ જીવ શુદ્ધાત્મા હોય તો આ વિશ્વસંચાલનમાં વિક્ષેપ ના પડે ? દાદાશ્રી : સર્વ શુદ્ધાત્મા હોય તો સંચાલન થાય જ નહીં. આમાંથી સિદ્ધ થવાનું છે. આ મનુષ્યોમાંથી ધીમે ધીમે સિદ્ધ થવાનું છે. તેમાં કો’ક, આખી દુનિયામાં એકાદ-બે સિદ્ધ થાય. વળી પાછા થોડા વખત પછી એકાદ-બે સિદ્ધ થાય. એટલે સિદ્ધ થવું એ એવું સહેલું હોતું નથી. સિદ્ધ થઈ શકે એમ છે. માણસ પરમાત્મા થઈ શકે છે ! પણ ‘પોતાનું’ જ્ઞાન થવાથી, આત્માને વ્યક્ત કરવાથી, એ થઈ શકે છે ! આત્મા જ પરમાત્મા થઈ શકે છે ! પ્રશ્નકર્તા : અમારે ત્યાં એક સંત આવેલા તે ‘ઓહમ્ ને સોહમ્’ બોલતા હતા, તે શું છે ? દાદાશ્રી : ૐ ને સોહમ્, બે શબ્દો છે, ઓહમ્ નામનો કોઈ શબ્દ નથી. આપણો જે ૐ છે ને તે ઊંચામાં ઊંચો મંત્ર છે. તેના બોલવાથી ઘણો લાભ થાય એમ છે અને સોહમ્નો અર્થ શું કે ‘તે હું છું, જે મહીં છે તે હું છું.’ એ બન્ને મંત્રો લાભકારી છે. જિંદગી શું છે ?પ્રશ્નકર્તા : આપના હિસાબે જિંદગી શું છે ? (પા.૫૮)દાદાશ્રી : મારા હિસાબે જિંદગી એ જેલ છે, જેલ ! તે ચાર પ્રકારની જેલો છે. દેવલોકો નજરકેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. પછી આ મનુષ્યો સિવાય બીજા જે ધરતી પર દેખાય છે, જેને તિર્યંચલોક કહે છે, તે બધા સખત મજૂરીની કેદમાં છે અને ચોથું આજીવન કેદ. એ નર્કગતિના લોકોને છે. તને આ જેલમાં ગમે છે ખરું ? પ્રશ્નકર્તા : ગમતું તો નથી પણ ગમાડવું પડે છે. દાદાશ્રી : હા, શું કરે ? ક્યાં જાય તે ? આવી ફસાયા પછી ક્યાં જાય તે ? અને તને એકલાને નહીં, સાધુ, આચાર્યો, મહારાજો બધાય ફસાયા છે. તે હવે કયાં જાય ? દરિયામાં પડતું નાખે તો ત્યાંય પોલીસવાળો પકડે છે ! ‘કેમ આપઘાત કરો છો ?’ એમ કહે. તે આપઘાતેય કરવા નથી દેતા ! આ સરકાર એવી સરસ આવી છે કે આપઘાતેય કરવો હોય તો બીજો ગુનો લાગુ કરે. ‘અહીં કરમ પૂરાં ભોગવી લો’ એમ કહે છે. પ્રશ્નકર્તા : જિંદગીમાં સુખી થવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : તારે સુખ કેવું જોઈએ છે ? વિનાશી જોઈએ છે કે ‘ઈટર્નલ’ જોઈએ છે ? પ્રશ્નકર્તા : ‘ઈટર્નલ’ (શાશ્વત). દાદાશ્રી : જો ‘ઈટર્નલ’ સુખ જોઈતું હોય તો તું અહીં આવજે અને વિનાશી જોઈતું હોય તો તેનો હું તને રસ્તો બતાડું. અહીં કોઈ કોઈ દિવસ આવતો રહેજે ને દર્શન કરી જજે. હું આશીર્વાદ આપ્યા કરીશ. તારું વિનાશી સુખ વધતું જશે અને જો ‘ઈટર્નલ’ સુખ જોઈતું હોય તો તે માટે મારી પાસે આવજે. એ મળ્યા પછી તારી પાસેથી એ સુખ જાય જ નહીં. તારે ‘ઈટર્નલ’ સુખ જોઈતું નથી ને ? પ્રશ્નકર્તા : કાયમનું જોઈએ છે. હું આવીશ તમારી પાસે. મોક્ષમાર્ગઅત્યારે આ કાળમાં મોક્ષમાર્ગ રહ્યો નથી. એક છાંટોય રહ્યો નથી. (પા.૫૯)જાણે અલોપ થઈ ગયો છે. અત્યારે સંસારમાર્ગેય સાચો રહ્યો નથી. પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગમાં ક્રિયાની જરૂર ખરી ? દાદાશ્રી : મોક્ષમાર્ગમાં આવી ક્રિયા હોતી નથી, ત્યાં તો જ્ઞાનક્રિયા કરવામાં આવે તો મોક્ષે જાય. અજ્ઞાનક્રિયાથી મોક્ષ ના થાય. આખો દહાડો સામાયિક કરે તોય મોક્ષ ના થાય, કારણ કે ક્રિયા ‘હું કરું છું’ એમ કહે છે. ‘હું કરું છું’ એ બંધન છે. આ કાળમાં તો ફરી મનુષ્ય અવતાર આવે તોય ઘણું સારું. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન સિવાય બીજું કશું કર્યું નથી. નર્કગતિના જીવો પણ ઓછા છે. ‘મીસાવાળા’ એકલા જ નર્કગતિમાં જવાના છે. થોડું આર્તંધ્યાન ને ધર્મધ્યાન હોય તોય મનુષ્યમાં આવે. આ તો ધર્મધ્યાન પણ જાણતો નથી. ધર્મધ્યાન જાણે તોય કામ થઈ જાય. પ્રશ્નકર્તા : સવારમાં ઊઠ્યા ત્યારથી દુકાન ને ઘરાક સાંભરે તેમાં ધર્મધ્યાનમાં કેવી રીતે રહેવું ? દાદાશ્રી : આમાં કોઈનો દોષ નથી. ના છૂટકે કરવું પડે છે. પ્રશ્નકર્તા : આમાંથી છૂટવું કેવી રીતે ? દાદાશ્રી : પુસ્તકમાં તમે વાંચ્યું નથી ? પ્રશ્નકર્તા : પૂરું વાંચ્યું નથી. દાદાશ્રી : જાતે છૂટાય એવું નથી. જે બંધનથી મુક્ત થયેલો હોય તે છોડી આપે. પોતે જ ડૂબતો હોય તે બીજાને તારી ના શકે. જેને મોક્ષ પ્રાપ્ત થયો હોય તે બીજાને મોક્ષ આપી શકે. અત્યારે દસેક ટકા મનુષ્યમાં આવશે. બીજા બધા તિર્યંચગતિનાં મહેમાન છે. પ્રશ્નકર્તા : જૈન ધર્મ અને મનુષ્યગતિ મળે એવો નિશ્ચય કર્યો હોય તો ? દાદાશ્રી : એ તો કોનો નિશ્ચય ના હોય ? પણ આર્તધ્યાન ને (પા.૬૦)રૌદ્રધ્યાન હોય તો તિર્યંચમાં જ જાય ને ? રૌદ્રધ્યાન એટલે શું કે પોતે સામાને કંઈ પણ જાતનું દુઃખ પહોંચાડવું અને આર્તધ્યાન એટલે પોતાને જ પીડા થાય. બીજાને કિંચિત્માત્ર દુઃખ ના કરે. ગમે તેટલા નિશ્ચય કરે, ગમે તેટલું કરે, ભટકભટક કરે તોય કશું ના વળે. અનંત અવતારથી રઝળપાટ જ કરે છે ને ? જ્યારે ‘મુક્ત પુરુષો’ મળ્યા ત્યારે સાંભળસાંભળ કર્યું; પણ તેમની આજ્ઞાવશ રહે નહીં. આજ્ઞાવશ રહેવું એનું નામ જ ધર્મ. ‘મુક્ત પુરુષ’ પોતે મોક્ષે લઈ જઈ શકે. તેઓ ‘લાયસન્સદાર’ છે. ‘જ્ઞાની પુરુષ’ પાસે વાતને સમજી લેવાની છે. આપણે અહીં બે માર્ગ છે : ‘રિલેટિવ’ માર્ગ અને ‘રિયલ’ માર્ગ. કેટલાય લોકો ધર્મધ્યાન શિખવાડે છે પણ કોઈને આવડતું નથી. એટલે આપણે અહીં ધર્મધ્યાન શિખવાડીએ છીએ, પણ એ બહુ ઊંચી જાતનું છે. કોઈ એને અમારી પાસેથી પકડી લે તો એનું કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : ધર્મધ્યાનમાં જાય પછી એમાં આગળ વધે એમ એમ શુક્લધ્યાન તરફ વધે ને ? દાદાશ્રી : ના. ધર્મધ્યાનમાં ગયો એટલે શુક્લધ્યાન તરફ પોતે ના જઈ શકે. શુક્લધ્યાન એવું નથી કે પોતે પોતાથી પ્રગટ થાય. ‘જ્ઞાની પુરુષ’ કે ‘કેવળજ્ઞાની’નાં દર્શન કર્યા વગર શુકલધ્યાન પ્રગટ ના થાય. એ નિર્વિકલ્પ પદ છે. અતીન્દ્રિય પદ છે. એટલે બીજી રીતે મેળ ખાય નહીં. અમે તમને ધર્મધ્યાન પણ આપીએ ને શુક્લધ્યાન પણ આપીએ છીએ. જ્ઞાનીની વિરાધનાપ્રશ્નકર્તા : આ બોલવા-ચાલવામાં, તમને પ્રશ્નો પૂછવામાં કોઈ ઠેકાણે અવિનય થતો હોય. અંતરમાં એવો અવિનય કરવાનો કોઈ ભાવ ના હોય, છતાંય બોલવા-ચાલવામાં અવિનય થઈ જતો હોય તો તે અમે વિરાધના તો નથી કરતા ને ? દાદાશ્રી : વાત કરતાં તમે વિરાધક થાઓ તો અમે વાત બંધ (પા.૬૧)કરી દઈએ. કારણ અમે જાણીએ કે આ તો અવળે રસ્તે ચાલ્યું. પ્રશ્નકર્તા : પણ અમારાથી તમારી વિરાધના થઈ જાય તો ? દાદાશ્રી : અમારી વિરાધના કરવાના તમારામાં પરમાણુઓ જ ના હોય. એવી તો અમને શંકા જ ઉત્પન્ન ના થાય. આખો દહાડો જેની આરાધના કરતા હો તેની વિરાધના હોય જ નહીં ને ! ‘દાદા’ની આરાધના કરી એ જ ‘શુદ્ધાત્મા’ની આરાધના કર્યા બરાબર છે અને એ જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે. આત્મસુખનું લક્ષણદાદાશ્રી : સુખ આત્મામાંથી આવે છે કે પુદ્ગલમાંથી ? પ્રશ્નકર્તા : આત્મામાંથી. દાદાશ્રી : એ આત્માનું સુખ છે કે પુદ્ગલનું સુખ છે, એ કેમ ખબર પડે ? પ્રશ્નકર્તા : અતીન્દ્રિય અનુભવ હોય ને ? દાદાશ્રી : એ બધાને ખબર ના હોય. આત્માના સુખનું લક્ષણ એટલે નિરાકુળતા રહેતી હોય. સહેજે આકુળતા-વ્યાકુળતા થાય તો જાણવું કે બીજી જગ્યાએ ઉપયોગ છે. માર્ગ ભૂલ્યા. બહારથી અકળાઈને આવ્યો ને તે પંખો ફેરવે તે બહુ સરસ લાગે. એને શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એનેય જાણવું જોઈએ. અશાતા વેદનીય હોય તેનેય જાણવું જોઈએ અને નિરાકુળતાયે રહેવી જોઈએ. બન્નેને જાણવું જોઈએ. શાતા વેદનીય જોડે એકાકાર થઈ જાય તે ભૂલ કહેવાય. વેદનીય ઉદયો - જ્ઞાનજાગૃતિપ્રશ્નકર્તા : શાતા વેદનીયમાં મીઠાશ તો આવે ને ? દાદાશ્રી : મીઠાશ તો આવે પણ મીઠાશને જાણવી જોઈએ. તે ઘડીએ જ્ઞાન હાજર રહેવું જોઈએ કે આ શાતા વેદનીય છે ને આ (પા.૬૨)નિરાકુળતા છે. અશાતા વેદનીય આવે, તો અશાતા વેદનીય છે એવું જાણે. બાહ્યમાં અશાતા હોય ને અંતરમાં નિરાકુળતા હોય ! સુખી થવું, દુઃખી થવું એટલે ભોક્તા થવું. કર્તા ને ભોક્તા બધામાં કર્મ બંધાય અને જ્ઞાતામાં કર્મ ના બંધાય. આપણે જાણીએ કે અત્યારે ‘ચંદુભાઈ’ને અશાતા વર્તે છે. સુખી કે દુઃખી થવાનો અર્થ શું છે ? આજે મરણ આવે કે પચીસ વરસ પછી આવે તેનો વાંધો નથી. પ્રશ્નકર્તા : મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે. દાદાશ્રી : દુઃખ શું ? પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ. દાદાશ્રી : એમાં બીક શું ? ‘વ્યવસ્થિત’ છે ને ? ‘વ્યવસ્થિત’માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ? પછી એની બીક શું ? ‘વ્યવસ્થિત’ આપણે ‘એક્સેપ્ટ’ કર્યું છે પછી કોઈ દહાડો કશું અડે એવું નથી, કોઈ ભય રાખવા જેવો નથી. નિર્ભય થઈને ફરો. પ્રશ્નકર્તા : વેદનાનો ભય રહ્યા કરે. દાદાશ્રી : વેદના થવાની જ નથી ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી તેને વેદના શી ? આ તો તમારો ‘વણિક માલ’ ભરેલો ને ? તે એકદમ પોચો હોય. આ સફરજન ખાઈએ ને બીજું જામફળ ખાઈએ, તો એ બેમાં ફેર નહીં ? જામફળ જરા કઠણ હોય ને સફરજન પોચું લાગે એટલે તમારે ‘ચંદુભાઈ’ને કહેવાનું કે ‘દાદા’એ કહ્યું છે : ‘વ્યવસ્થિત’. ‘વ્યવસ્થિત’ કહ્યા પછી ભય શો ? પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું. તે જરાય સહન થતું નહોતું. દાદાશ્રી : ‘મને સહન થતું નથી.’ એવું કહ્યું કે એ વળગ્યું ! (પા.૬૩)પણ ‘આપણે’ તો કહીએ, ‘‘ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું. ઓછું થઈ જશે.’’ પણ ‘મને દુઃખ્યું કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !’ પ્રશ્નકર્તા : શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે છે. દાદાશ્રી : તે ‘ચંદુભાઈ’ને લાગે છે ને ? ‘ચંદુભાઈ’ને ‘આપણે’ કહીએ કે ડીક્ષનરી હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરાય અસર થાય તો કહેજો. પ્રશ્નકર્તા : કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું. દાદાશ્રી : તમારે મને પૂછવું. હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે. અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુઃખે છે. કોઈ કહેશે કે ‘કેમ, તમને શું થયું છે ?’ ત્યારે કહેવું કે ‘પાડોશીને માથું દુઃખે છે તે હું જાણું છું.’ અને ‘આ’ પાડોશી છે એવી ‘તમને’ ખાતરી થઈ ગઈ છેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય તો આપણે કંઈ રડવા લાગવું ? પાડોશીને ત્યાં તો વઢવાડો થયા જ કરવાની અને બૈરી જોડે કોને વઢવાડ ના થાય ? ‘આપણે’ વગર પરણેલા, ‘આપણે’ શું કામ રડીએ? પૈણેલો રડે. ‘આપણે’ પૈણ્યા નથી ! રાંડ્યા નથી ! ‘આપણે’ શું કામ રડીએ ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ કે, ‘ભઈ, રડશો નહીં, અમે છીએ તમારી જોડે. ડોન્ટ વરી, ગભરાશો નહીં.’ એમ કહીએ. પ્રકૃતિની પજવણીઆ ‘વણિકમાલ’ તે આવતાં પહેલાં ભડકે. આપણે તો ચંદુભાઈને કહેવાનું કે, ‘તમને કશું જ થવાનું નથી.’ મહીં એવો વિચાર આવશે (પા.૬૪)કે પેલા ભાઈને ચલાતું નથી, તે આપણનેય એવું થઈ જશે તો ? એવા વિચારો આવે તો આપણે કહેવું, ‘ચંદુભાઈ, અમે બેઠા છીએ ને ! કશું જ થવાનું નથી.’ ‘આપણે’ જુદાપણાના વ્યવહારથી બોલોને. આ તો સાયન્સ છે. ‘મને થયું’ કહ્યું કે ભૂત વળગે. જગતને તેથી ભૂતાં વળગ્યાં છેને બધાં ! પોતે પરમાત્મા પછી શેને માટે આ બધું હોય ? પરમાત્મપણાની શક્તિ થોડી તમને દેખાઈ છે કે નહીં ? તમને ‘પરમાત્મા છો’ એવું ભાન, એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પછી શો વાંધો છે ? જેને થોડી શક્તિ ઉત્પન્ન થઈ તેને સર્વ શક્તિ છે એ નક્કી થઈ ગયું. તમને કોઈ અપમાન કરે તો પરિણામ બદલાય નહીં એટલે જાણો કે ‘ઓહોહો ! આટલી બધી શક્તિ !!’ તે હજુ થોડીક જ નીકળી છે. હજી તો નીકળશે. અનંત શક્તિઓનો ધીમે ધીમે અનુભવ થશે ! આ ‘એ. એમ. પટેલ’ એ માણસ જ છે ને ? તમારા જેવા એ નથી ? માણસને બધું હોય. શું ના હોય ? પણ અમે તો દુઃખ આવતાં પહેલાં જ આધાર આપીએ, ‘અમે છીએ ને પછી તમારે શો વાંધો છે ? અમે તો પાડોશીના પાડોશીનેય કહીએ કે અમે છીએ ને તમારી જોડે !’ ભગવાન છે ત્યાં આગળ શી ખોટ હોય ? આપણે જુદાપણાથી બોલો તો ખરાં. ક્ષત્રિયોની જેમ હિંમત રાખવી. અત્યાર સુધી તમે નિરાધાર હતા. શાસ્ત્રકારોએ એને અનાથ કહ્યું. તે હવે તમે સનાથ થયા. હવે તમે આમ આધાર ના આપશો કે ‘મને થયું’. આમ આધાર આપશો તો એ દુઃખ પડી નહીં જાય. મને માથું દુખ્યું એ આધાર તમે આપો તો વસ્તુ પડી જાય કે રહે ? પ્રશ્નકર્તા : રહે. દાદાશ્રી : આધાર આપો તો રહે. આખું સાયન્સ જ છે. એનો (પા.૬૫)ઉપયોગ કરતાં આવડ્યો તો કામ થઈ જશે. સહેજ ચૂકશો તો એની અસર થશે, બીજું કશું નુકસાન નહીં થાય પણ તમને અસર ભોગવવી પડશે. પ્રશ્નકર્તા : એવા ભાવે, અશાતાભાવે નિર્જરા થાય ને ? દાદાશ્રી : તે નિર્જરા જ થવા માટે આવ્યું છે, પણ એવું છે ને કે એટલું આપણું સુખ આવતું બંધ થઈ ગયું ને ? આપણા સુખનું વેદન બંધ થઈ જાય. અશાતા વેદનીયનો વાંધો નહીં. એની તો નિર્જરા જ થાય. રીત બદલો, વેદનનીમાટે હવે તમે રીત બદલો તો વેદના ઓછી થશે, તેમ તેમ સુખ અંદરથી વધારે આવશે, કેમ કે બહાર ગૂંચવાય તો અંદરથી સુખ આવતું ઓછું થાય. તમારે ‘ચંદુભાઈ’ને અરીસા સામે દેખાડવું, આમ હાથ-બાથ ફેરવીને કહેવું, ‘અમે છીએ ને તમે છો. બે છીએ એ તો નક્કી છે ને ? એમાં બનાવટ નથી ને ?’ પ્રશ્નકર્તા : ના, બે જ છે. દાદાશ્રી : આ ‘પાડોશી’ કંઈ જાણતા નથી એ વાતેય નક્કી છેને ? અને આપણે જાણકાર છીએ. પાડોશીને કંઈ ખબર નથી કે માથું દુખ્યું. ખબર આપણને છે. એટલે આપણે કહેવું કે ‘માથું દુખ્યું તે અમે જાણીએ છીએ. તે હમણાં ઊતરી જશે. શાંતિ રાખો !’ પછી ખભો થાબડી આપવો. પાડોશીને તો આપણે સાચવવું જ જોઈએ ને ? અને વેઢમી (પૂરણપૂરી) સારી હોય, ચોખ્ખું ઘી હોય તો બે ખવડાવી પણ દેવી ! ‘ખાઈને સૂઈ જાવ’ કહીએ. પાડાને વાંકે પખાલીને ડામ શા માટે ? પ્રશ્નકર્તા : પાડો કોણ આમાં ? દાદાશ્રી : બધો મનનો દોષ છે આમાં. મનની ચંચળતાને લીધે પેટને બિચારાને ભૂખે મરવું પડે. મન પાડો છે આમાં. પેટ પખાલી છે. દોષ મનનો છે ને લોક પેટને ડામ દે છે. ભજિયાં-જલેબી દેખે એટલે (પા.૬૬)મન ‘આઉટ ઓફ કંટ્રોલ’ થાય. એટલે પેટમાં આફરો થાય. પછી બીજે દહાડે તબિયત બગડે એટલે પાછો ઉપવાસ કરવો પડે. પછી ધર્મને નામે ઉપવાસ કરે કે ગમે તે નામે, પણ ઉપવાસ તો કરવો પડેને ! સમ્યક્ તપભગવાને ઊણોદરી તપ કેવું સરસ બતાડ્યું છે ! બે ભાગ ખોરાક, એક ભાગ પાણીનો ને એક ભાગ હવાનો. એવું ચાર ભાગ પાડીને જમી લેવું. ભગવાને જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ ત્રણ નથી કહ્યું, ચાર કહ્યાં છે. ચોથું તપ કહ્યું. મોક્ષના ચાર પાયા છે. તે ક્રમિકમાંય ચાર પાયા છે ને અહીં ‘અક્રમ’માં પણ ચાર પાયા છે. તપ કયું ? જ્યારે વેદના થતી હોય. આ તમારે માથું દુખવું એ વેદના. ખરેખર એ વેદના જ ગણાય નહીં. એ તો જાણ્યા જ કરે, પણ બીજી વેદના એવી કે આમ હાથ કાપતા હોય, ઘસી ઘસીને કાપતા હોય એવા સંયોગોમાં આવ્યા હોઈએ ત્યારે તેને વેદના કહેવાય. તે ઘડીએ તપ કરવાનું છે. ભગવાને કહ્યું કે શું તપ ? તું ‘હોમ ડિપાર્ટમેન્ટમાં છે.’ સ્વપરિણતિમાં છે તે પરપરિણતિ ઉત્પન્ન ના થાય, એ તપ કરવાનું છે. આ પરપરિણામ છે અને આ મારાં પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું, એનું નામ તપ. આવું તપ ગજસુકુમારે કરેલું. તે શુદ્ધાત્માના ધ્યાનમાં હતા ત્યારે એમના સસરાએ એમને માથે માટીની સગડી કરી નિરાંતે અંગારા ભર્યા. તેમણે જોયું કે ‘ઓહોહો ! આ સસરાજી તો મોક્ષની પાઘડી બંધાવે છે.’ તે શુદ્ધાત્માના ધ્યાનમાં શ્રેણીઓ ચઢતાં ચઢતાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા ! મોક્ષનો માર્ગ છે શૂરાનો..આ શરીરને આપણે કહેવું કે ‘હે શરીર ! હે મન ! હે વાણી ! તમને જ્યારે ત્યારે લોક બાળશે. તેના કરતાં અમે જ બાળી મૂકીએ તો શું ખોટું ?’ (પા.૬૭)માટે ક્ષત્રિય થઈ જાવ. જે સ્વરૂપ આપણું નથી ત્યાં શી પીડા ? જે સ્વરૂપ આપણું નથી એવું ‘જ્ઞાની પુરુષે’ તમને કહ્યું, તે તમને બુદ્ધિથી સમજાયું, પછી શી પીડા ? તમારું એકનું એક મકાન હોય, તે તોડવાનું ગમે નહીં. પણ દેવું થઈ ગયું હોય એટલે વેચી નાખો, તેના દસ્તાવેજ પણ થઈ ગયા હોય, પછી તે ઘર તૂટે ને તમે બૂમો પાડો કે ‘આ ઘર મારું, આ ઘર મારું’, તો તે કેવું ખરાબ લાગે ! પ્રશ્નકર્તા : શબ્દમાં કહેવામાં વાંધો નથી આવતો, પણ જ્યારે વેદનીય હાજર થાય છે ત્યારે એનો પરચો બતાવે છે. દાદાશ્રી : વેદનીય તો તમને શી થઈ છે ? વેદનીય તો જ્યારે પક્ષાઘાત થાય ત્યારે વેદનીય કહેવાય. આને વેદનીય કેમ કહેવાય ? પેટમાં દુખ્યું, માથું દુખ્યું કે સણકા થયા એને વેદનીય કેમ કહેવાય ? એક આપણા મહાત્માને પક્ષાઘાત થયેલો. તે કહે કે ‘‘દાદા, આ ‘મંગળદાસ’ને બધાં જોવા આવે છે, તેમને ‘હું’ પણ જોઉં છું !’’ પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન ના હોય, અનંત સ્વરૂપનું વેદન ના હોય ત્યાં સુધી બીજું કંઈ ને કંઈ તો વેદન હોય ને ? જેમ કે શાતા-અશાતા. દાદાશ્રી : એવું છે ને કે વેદનાનો સ્વભાવ કેવો છે કે જો એને પારકી જાણે તો એ જાણ્યા કરે કે આ પારકી છે. પછી ખાલી જાણ્યા જ કરે એને, વેદે નહીં. પણ આ વેદના ‘મને થઈ’ કહે તો વેદે અને આ ‘સહન થતી નથી’ એમ બોલ્યા એટલે વેદના દસ ગણી લાગે. આ ‘સહન થતી નથી’, એમ તો બોલાય જ નહીં. આ પગ તો તૂટતો હોય તો બીજાનેય કહીએ કે તું પણ તૂટ. નાદારી જ કાઢવી. હવે મોક્ષમાર્ગ હાથમાં આવ્યો છે એટલે જરાક હિંમત દાખવવી પડશે. જૂઓ પડવાથી ધોતિયું શાનું કાઢી નંખાય ? એને તો વેણી નાખવાની. (પા.૬૮)કોઈ કષાયી વાણી બોલે તમારી જોડે તો તે તમારાથી સહન થાય કે ? પ્રશ્નકર્તા : એ જરા દૂર છે એટલે બહુ ના લાગે. દાદાશ્રી : સામાન્ય રીતે આ મનુષ્યનો સ્વભાવ કેવો હોય ? પેલું શારીરિક દુઃખ સહન કરે, પણ કષાયી વાણી સહન ના કરે ! માની બેઠાં છે કે આ મને અડેલું જ છે. હવે એટલું અડેલુંય નથી ત્યાં આગળ. ખાલી સ્પર્શ જ છે. ખાલી આત્માનો ને પુદ્ગલનો બેનો સ્પર્શ થાય છે. એકાકાર કોઈ દહાડો થયું નથી. હવે આત્માનો એવો ગુણ છે કે બોલતાંની સાથે જ જેવું બોલે તેવી અસર થઈ જાય. માટે ક્ષત્રિયપણું વાપરવું પડે. થોડો વખત અમારા ટચમાં રહેવું પડે. આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું ચિંતવે એવો તરત જ થઈ જાય. સુખમય ચિંતવ્યો તો સુખમય થઈ જાય ને દુઃખમય ચિંતવ્યો તો તેવું થઈ જાય. એટલે બહુ જાગૃત રહેવાનું છે. આમાં બીજી કોઈ ચિંતવના ના થાય. જેમ કે, મારું માથું દુખ્યું ! પ્રશ્નકર્તા : ચિંતવના થતી નથી, પણ હવામાન બગડી જાય છે. દાદાશ્રી : હવામાનની અસર થાય પણ આપણાથી બોલાય નહીં કે મને દુખ્યું. આપણે તો એમ કહેવું પડે કે ‘ચંદુભાઈ’ને માથું દુઃખે છે. આ તો ખાલી ભડક છે. એક માણસથી કડવી દવા નહોતી પીવાતી. તે મેં તેના દેખતાં, ચા ને ભાખરી ખાઈએ તેમ કડવી દવા ને ભાખરી નિરાંતે ખાધી. તે પેલો માણસ તો ભડકી ગયો કે આ તો તમે ચાની જેમ ખાવ છો. અલ્યા, ચાની જેમ જ પીવાય. આ તો તને ખાલી ભડકાટ પેસી ગયો છે. ત્યાર પછી એ રીતે એ માણસ કડવી દવા પીતો થઈ ગયો. સામો દેખાડતો હોય તો થઈ શકે એમ છે. કોઈ દેખાડનાર જોઈએ. એક ફેરો હું અગ્નિમાં આંગળી ધરીને બતાવું તો તમે હઉ ધરો. દેખાડનાર જોઈએ. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું. (પા.૬૯)નિર્લેપ, અસંગ, અગ્નિનોય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો. અને પરભાવમાં પરપરિણતિ ઉત્પન્ન ના થાય એ જોયા કરવાનું. પરપરિણતિ કોને કહેવાય છે ? પરપરિણામને પોતાનાં પરિણામ માને એનું નામ પરપરિણતિ. માથું દુઃખે છે એ પરપરિણામ કહેવાય અને તેને ‘મને દુખ્યું છે’ એમ કહ્યું એને પરપરિણતિ કહી. જેણે સ્વપરણિતિ, સ્વપરિણામ જોયાં નથી તે પરપરિણતિ સિવાય બીજું શું જુએ ? ‘સ્વ’ તો સમકિત થયા પછી હાથમાં આવે. ‘સ્વ’ હાથમાં હોય તો ક્રોધ-માન- માયા-લોભની દશા મડદાલ થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ એ કષાયો કહેવાય. મોક્ષ જોઈતો હોય તો શિર સાથે ખેલ છે. શૂરવીરતા એટલે શૂરવીરતા ! ઉપરથી એટમબોંબ પડે પણ પેટમાં પાણી ના હાલે, એનું નામ શૂરવીરતા. અને જો તમે શુદ્ધાત્મા સ્વરૂપ છો, મેં જે સ્વરૂપ તમને આપ્યું છે તે સ્વરૂપમાં છો તો પાણીય અડે તેમ નથી. તમે હવે નિઃશંક થયા. હવે આજ્ઞામાં રહો ને ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે. કાન કાપી લે તો ભલે કાપી લે. પુદ્ગલ આપી દેવાનું છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો ‘વ્યવસ્થિત’નો ટાઈમ હશે તે દહાડે જશે. માટે ‘જ્યારે લેવું હોય ત્યારે લઈ લો’ એમ કહેવું. ભય રાખવાનો નહીં. કોઈ લેનાર નથી. કોઈ નવરુંય નથી. આપણે કહીએ કે ‘લઈ લો’, તો કોઈ લેનારું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાઓ, કહીએ. પ્રશ્નકર્તા : બહારની ફાઈલો એટલી બધી હેરાન નથી કરતી, પણ અંદરની શાતા-અશાતામાં એકાકાર થવાય છે. દાદાશ્રી : શાતા-અશાતાને તો બાજુએ જ મૂકી દેવાનું. શાતામાં પ્રમાદ થઈ જાય, અજાગૃતિ રહે. શાતા-અશાતાની તો બહુ પરવા રાખવી નહીં. અશાતા આવે, હાથમાં લાય બળતી હોય તો આપણે કહેવું કે, (પા.૭૦)‘‘હે હાથ ! ‘વ્યવસ્થિત’માં હો તો બળો કે સાજો રહો.’’ એટલે લાય બળતી હોય તો બંધ થઈ જાય; કારણ કે આપણે બાળી મૂકવાની વાત કરીએ પછી શું થાય ? પંપાળવાનું તો કયારેય હોય નહીં. આ પુદ્ગલ છે. ‘વ્યવસ્થિત’ના તાબે છે. એની અશાતા વેદનીય જેટલી આવતી હોય તેટલી આવો. શૂરાતન તો જોઈશે ને ? અને નહીં તોય રડી રડીને ભોગવવું, એના કરતાં હસીને ભોગવવું શું ખોટું ? તેથી તો કહ્યું છે ને, ‘‘જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.’’ અડધો પગ તૂટી ગયો તો આપણે કહીએ, ચાલો દોઢ તો રહ્યો ને ! ફરી અડધો જતો રહે, ત્યારે આપણે એમ કહીએ કે બેને બદલે એક તો રહ્યો ને ? આમ કરતાં છેવટે બધા પાર્ટસ તૂટી પડે, ત્યારે છેવટે આત્મા તો છીએ ને ? છેવટે તો બધા પાર્ટસ તૂટી જ પડવાના છે ને ? પેટ્રોલ છાંટીને ભડકો કરો તોય અમે આત્મસ્વરૂપ છીએ ! જ્યારે ત્યારે ભડકો થવાનો જ છે ને ! નથી થવાનો ? થોડોક અભ્યાસ જ કરવાની જરૂર છે. ઉઘાડે પગે મહારાજ કેમ કરીને ચાલે છે ? ખેડૂતો કેમ કરીને ચાલે છે ? બે-ચાર વખત આપણે દઝાઈએ એટલે બધું રાગે પડી જાય. બાકી એક ટીકડીથી વેદના બેસી જાય તેને વેદના જ કેવી કહેવાય ? સો-સો ટીકડીઓ ખાય તોય વેદના ના શમે, એનું નામ વેદના કહેવાય. હવે તો અપના કુછ નહીં. ‘જ્ઞાની પુરુષ’ને બધું વોસરાવી દીધું. મન-વચન-કાયા ને સર્વ માયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધું જ વોસરાવી દીધું. પછી તમારી પાસે કશું જ બાકી નથી રહેતું. મહાવીરનું વેદન - સ્વસંવેદનપ્રશ્નકર્તા : ‘જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.’ તો જ્ઞાની પણ વેદે તો ખરા ને ? દાદાશ્રી : વેદના તો જાય જ નહીં ને ! પણ એ વેદના ધૈર્યથી વેદે, સહુ સહુના ગજા પ્રમાણે ધૈર્ય હોય. જો કે મહાવીર ભગવાન કેવળ જાણતા જ હતા. એક માંકણ એમને કરડે તો તેને પોતે જાણે એકલું (પા.૭૧)જ, વેદે નહીં. જેટલો અજ્ઞાન ભાગ છે એટલું વેદે. તમે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા છો, હજી જ્ઞાને કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે. ત્યાં સુધી વેદવાનું ખરું. વેદવામાં તો અમે તમને કહીએ છીએ ને કે આઘું બેસવું, આપણા ‘હોમ ડિપાર્ટમેન્ટમાં !’ જરાય આઘુંપાછું કરવું નહીં, ગમે તેટલી ઘંટડીઓ મારે તોય ‘હોમ ડિપાર્ટમેન્ટ’ છોડવું નહીં. છોને ઘંટડીઓ મારે ! બારસો ઘંટડીઓ મારે તોય આપણે શું કામ આપણી ‘ઓફિસ’ છોડવી ? શાતા વેદનીય ને અશાતા વેદનીય તો તીર્થંકરોને પણ આવે, પણ એ જ્ઞાને કરીને, કેવળજ્ઞાને કરીને જાણે. મન જો ડિસ્ચાર્જ ના કરીએ તો એ પાછું જોડે આવે, માલસામાન સાથે આવે. એના કરતાં ખાલી થઈ જવા દો ને. એક નિયમ એવો છે કે એ ખાલી થઈ જ જાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, એ ચાર ભેગાં થાય એટલે એ ખાલી થઈ જ જાય, કાયદેસર રીતે. આત્મા પરમ સુખી છે. અશાતા દેહ આપે, મન આપે, વાણી આપે. કોઈ કશું કહી જાય તોય અશાતા વેદનીય થાય. પ્રશ્નકર્તા : દેહની વેદનીય હોય ત્યારે ચિત્ત તેમાં વધારે જતું રહે. દાદાશ્રી : હા. ચિત્ત ત્યાંનું ત્યાં જ ભમ્યા કરે. આપણે એને કહીએ કે બહાર જરા ફરવા જા, તો ય ના જાય. ઘરમાં ને ઘરમાં જ રહે. પ્રશ્નકર્તા : એનાથી ફરી બંધ ના પડે ? દાદાશ્રી : ના. વેદના ભોગવી લેવાની. ભોગવ્યે જ છૂટકો. બંધ તો કર્તા થાય ત્યારે પડે. કર્તા મીટે તો છૂટે કર્મ. ચિત્તની શુદ્ધતા - સનાતન વસ્તુમાં એકતાપોલીસવાળો બૂમ પાડતો આવે, હાથકડી લઈને આવે તોય આપણને કશી અસર ના થાય એનું નામ વિજ્ઞાન. પ્રશ્નકર્તા : તો પછી ચિત્ત શેમાં રાખવું ? (પા.૭૨)દાદાશ્રી : ચિત્ત પોતાના સ્વરૂપમાં રાખવાનું છે. જે નિરંતરનું હોય તેમાં ચિત્ત રાખો. ચિત્ત સનાતન વસ્તુમાં રાખવાનું છે. મંત્રો એ સનાતન વસ્તુ નથી. એક આત્મા સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સનાતન નથી. બીજું બધું ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે ! ઓલ ધીઝ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ ! ‘પરમેનન્ટ’ એક આત્મા એકલો જ છે. સનાતન વસ્તુમાં ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં અને ત્યારે એની મુક્તિ થાય. મંત્રોના જાપ કરતા હોય તેમાં ચિત્ત કયાં સુધી રહે ? જ્યાં સુધી પોલીસવાળો આવ્યો નથી ત્યાં સુધી. પોલીસવાળો આવ્યો કે જાપેય ઊડી જાય ને, ચિત્તેય ઊડી જાય. એટલે એ ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. ‘રિલીફ’ આપે, શાંતિ આપવામાં મદદ કરે, પણ કાયમનું કામ કરે નહીં. આ જપયોગની જરૂર છે ખરી, પણ જ્યાં સુધી સનાતન વસ્તુ ના મળે ત્યાં સુધી. ચિત્ત સનાતનમાં મળી ગયું એ શુદ્ધ ચિત્ત થઈ ગયું અને શુદ્ધાત્મા થઈ ગયો એટલે વિદેહી થઈ ગયો અને વિદેહી થઈ ગયો એટલે મુક્તિ થઈ ગઈ. વિદેહી થવાની જરૂર છે. આ તો દેહી કહેવાય. ‘હું ચંદુભાઈ છું’ ત્યારથી જ ભ્રાંતિ. ‘‘જ્ઞાની પુરુષ’’ આપણી ઊંઘ ઉડાડે છે. જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. ઊંઘવું એટલે ‘હું આ કરું છું’, ‘હું કર્તા છું’ એવું ભાન રહે છે. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય અને પોતાની જે શક્તિ છે તેને પોતે જાણતો નથી. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ બધી ભ્રાંતિ છે. આ જપયજ્ઞ બહુ સુંદર સાધન છે, પણ જ્યાં સુધી નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન ના થાય ત્યાં સુધીનું એ સાધન છે. એ સાધ્ય વસ્તુ નથી. સાધ્ય ક્ષેત્રજ્ઞ છે. પોતાનો સ્વભાવ ક્ષેત્રજ્ઞ છે. એ સ્વભાવ ઉત્પન્ન થાય એ સાધ્ય છે. પક્ષમાં પડ્યા હોય ત્યાં સુધી ભગવાન ભેગા થાય નહીં. કોઈ વૈષ્ણવ પક્ષમાં, કોઈ શિવ પક્ષમાં, કોઈ મુસ્લિમ પક્ષમાં, કોઈ જૈન પક્ષમાં (પા.૭૩)છે, ત્યાં સુધી ભગવાન કોઈ દહાડોય ભેગા થાય નહીં. આ નિયમ જ છે. ભગવાનનો નિયમ એવો છે કે પક્ષમાં પડેલાની સાથે ભેગા થવું નહીં. ભગવાન પોતે જ નિષ્પક્ષપાતી છે. તે નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન થશે ત્યારે એ વાત સમજાશે. પક્ષમાં પડેલો ને સંસારમાં પડેલો, એ બેમાં ફેર શું છે ? આડાઈઓપ્રશ્નકર્તા : આડાઈ શું કહેવાય છે ? દાદાશ્રી : અજ્ઞાનતામાં પોતાની ભૂલ થઈ હોય તેની પોતાને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ તોય બીજું કોઈ પૂછે કે આવું કેમ કર્યું, ત્યારે એમ કહે કે આવું કરવા જેવું હતું. એટલો બધો આડો હોય કે ન પૂછોને વાત. લોકો કહેય ખરાં કે તમે તો આડા છો. લોકો એવું કહે કે ના કહે કે ‘તમે આડું બોલો છો કે ?’ પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ જ બધી આડાઈ. ભૂલની ખબર ના હોય ને એને ઢાંકીએ, એ વાત જુદી છે. ખબર હોય ને ઢાંકે એ મોટામાં મોટી આડાઈ. બીજી આડાઈ એ કે રાત્રે કોઈની જોડે આપણને ભાંજગડ પડી હોય અને સવારમાં ચા મૂકવા આવે તો કહે, ‘મારે તારી ચાયે ના જોઈએ ને કંઈ ના જોઈએ.’ પાછો આડો થાય. અલ્યા, રાતની વાત રાતે ગઈ. ગઈકાલે શનિવાર હતો, આજ તો રવિવાર છે. પણ શનિવારની વાત રવિવારે ખેંચી લાવે. શનિવારની વાત શનિવારમાં ગઈ. રવિવારની વાત નવી પાછી. પ્રશ્નકર્તા : શનિવારની વાત રવિવારે રહી. એનો જે તાંતો રહ્યો એ આડાઈને તોડવાનો રસ્તો શું ? દાદાશ્રી : આડાઈને તોડવાની જરૂર નથી. આપણે દાદાની આજ્ઞા પાળવાની છે. ‘વ્યવસ્થિત’ જાણ્યું એટલે બોલવા-ચાલવાનું ના રહ્યું. ‘વ્યવસ્થિત’નો અર્થ શું ? આપણને એની જોડે તકરાર, ઝઘડો કશું જ (પા.૭૪)રહ્યું નહીં, આનું નામ ‘વ્યવસ્થિત’. ‘વ્યવસ્થિત’ એટલે ‘વ્યવસ્થિત’ ! ‘વ્યવસ્થિત’ને પૂરેપૂરું સમજવું પડે અને આ જગતમાં બીજાની તો ભૂલ જ નથી. જેટલી ભૂલો છે તે બધી જ પોતાની ભૂલોનું પરિણામ છે. નહીં તો ગજવું કાપનારો આટલાં બધાંને ભેગો ના થયો ને મને કઈ રીતે ભેગો થઈ ગયો ? આપણી ભૂલ વગર ભેગું થાય નહીં. બે પ્રકારનાં ઇનામ. એક તો લોટરીમાં લાખ રૂપિયાનું ઇનામ આવે તેય ઇનામ છે અને આપણા એકલાનું ગજવું કાપી ગયો ને તેય ઇનામ. બધું ‘વ્યવસ્થિત’ છે. આત્મા - એક કે પ્રત્યેક ?બ્રહ્મસ્વરૂપ થયું ક્યારે કહેવાય કે કોઈ જાતનો મતભેદ ના રહ્યો. પહેલાં બ્રહ્મસ્વરૂપનો દરવાજો આવે છે. આ બધા મત ત્યાં ભેગા થાય છે. ત્યાં મોટો દરવાજો છે. બ્રહ્મસ્વરૂપ થયા કોને કહેવાય કે જેની વાણી મતવાળી ના હોય, ગચ્છવાળી ના હોય, ફક્ત આત્મા સંબંધની જ વાણી હોય, જુદાઈ ના પડે. એ બ્રહ્મસ્વરૂપ થયા કહેવાય. બ્રહ્મસ્વરૂપ થયા પછી તો આત્મા તો પરમાત્મા જ છે. શુદ્ધાત્માની વાત જ ક્યાં કરવાની ? પ્રશ્નકર્તા : બ્રહ્મસ્વરૂપ એક છે કે અનેક ભાસે છે ? દાદાશ્રી : એક અને અનેક બેઉ છે. અમુક અપેક્ષાએ એક છે અને અમુક અપેક્ષાએ અનેક છે. એ તો બ્રહ્મસ્વરૂપની વાત છે. બ્રહ્મસ્વરૂપને તમે શુદ્ધાત્મા સાથે સરખાવો છો ? આત્મા ખરી રીતે પ્રત્યેક છે. એટલે જે આત્મા ત્યાં મોક્ષે ગયા તેમને મોક્ષનું સુખ વર્તે અને જે બંધાયેલા છે તેમને બંધનનું સુખ વર્તે. આત્મા જો એક હોત ને તો ત્યાંવાળાને મોક્ષનું અને અહીંનાને ય મોક્ષનું સુખ વર્તે ! એટલે આત્મા પ્રત્યેક છે, જુદા જુદા છે. ને ત્યાંય પણ જુદા જુદા છે. ત્યાં એક જ થતું હોત ને તો ત્યાં જઈને આપણને શું ફાયદો ? આપણી મિલકત બધી એમને આપી દેવાની ? ત્યાં સિદ્ધગતિમાં જઈને તો પોતાના સ્વયંસુખમાં રહેવાનું. ત્યાં જઈને એક થઈ જવાનું હોય, એના કરતાં અહીં શું ખોટું ? બૈરી ભજિયાં-બજિયાં કરીને ખવડાવે તો ખરી ! બહુ (પા.૭૫)ત્યારે બૈરી ટૈડકાવે એટલું જ ને ? બીજું અહીં શું દુઃખ છે ? ગલનનું રહસ્ય‘જ્ઞાની પુરુષ’ શું કહેવા માંગે છે કે આ ખાય છે, પીએ છે એ બધું ગલન છે. જગત એને પૂરણ સમજે છે, કારણ જગતને ઇન્દ્રિયજ્ઞાનથી જે દેખાય છે તેને સત્ય માને છે અને એ યથાર્થ સત્યથી વેગળું છે. પૂરણ અમુક અંશે તમારા હાથમાં છે, સર્વાંશે નથી. ‘સ્વરૂપ જ્ઞાન’ મળે તો પોતે સત્તામાં આવે, નહીં તો ના આવે. અગર તો મતિજ્ઞાન મળ્યું હોય તો ય તેટલી સત્તા પ્રાપ્ત થાય ને મતિજ્ઞાન એય સત્તાનો આધાર છે. મતિજ્ઞાન, શ્રૂતજ્ઞાન, અવધિજ્ઞાન એય બધાં સત્તાનો આધાર છે. પૈસા કમાયા તેને જગત પૂરણ કહે છે ને ખોટ જાય કે ખર્ચાઈ જાય, ત્યારે ગલન થઈ ગયા કહે છે. હકીકતમાં કમાયા કે ખર્ચાયા તે બેઉ ગલન છે અને પાછું ‘વ્યવસ્થિત’ને આધીન છે. હવે આ જગતને શી રીતે સમજાય ? જો ‘વ્યવસ્થિત’ની સત્તા સમજી જાય તો પોતે તદ્દન નવરો પડી જાય. પછી પોતાના સ્વરૂપમાં જ રહી શકે. આટલી વાત તમે જાણો તો પછી તમને ડખો ના રહેને ? તમે આ વાત ભૂલી ના જાઓ અને જગતનાં લોકોને શિખવાડ શિખવાડ કરીએ તોય ભૂલી જાય. કારણ કે તેઓ કષાય સહિત છે. કષાય સહિતવાળાને કશું કાબૂમાં ના રહે. તમને ‘જ્ઞાન’ આપીએ પછી તમને ચોપડી ક્યાં વાંચવાની કહી છે ? આ તો મોઢે આપેલું જ્ઞાન છે. ચોપડી કે શાસ્ત્ર કશું વાંચવાનું નહીં, છતાં પ્રમાણમાં એનું એ જ જ્ઞાન તમારી પાસે રહે છે ! ચોપડીનું યાદ નહીં રહે, મોઢે આપેલું યાદ રહેશે. કારણ કે એ ‘જ્ઞાની પુરુષ’નું વચનબળ હોય. પુસ્તકમાં વાંચવા જાય તો એ જડ થઈ જાય પાછું ! એટલે જગત બધું ગલન સ્વરૂપે છે અને તેય પાછું ‘વ્યવસ્થિત’ ભાવે છે. આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું ‘વ્યવસ્થિત’ના તાબે છે. એના તાબામાં હોય પછી તમારે એનું રક્ષણ કરવાની જરૂર નહીં ને ? તમારે તો કશું કરવાનું જ ના રહ્યું ને ? ખાલી ‘જોયા’ કરવાનું કે ‘વ્યવસ્થિત’ શું કરે છે તે ! અમારી આ ‘વ્યવસ્થિત’ની શોધખોળ બહુ (પા.૭૬)‘એક્ઝેક્ટ’ છે. ‘પોઈન્ટ ટુ પોઈન્ટ’ સુધી ‘એક્ઝેક્ટ’ છે. તેથી તો અમે આ ગલન કહીએ છીએ, તે તમને તમારા ‘જ્ઞાન’માં રહેવા માટે આ બધા ‘જેમ છે તેમ’ ફોડ પાડીએ છીએ. તેથી તો આ ‘અક્રમ વિજ્ઞાન’ ખુલ્લું કરવું પડ્યું છે ! જેને લોકો ઉદયકર્મ કહે છે તે બધું ગલન છે. એમાં પૂરણ કશું નથી. આ પાંચ ઇન્દ્રિયો બધી ઉદયને આધીન છે. આ પાંચ ઇન્દ્રિયો જ ઉદયને આધીન છે ત્યાં પછી ઇન્દ્રિયનાં કર્મ તો ઉદયને આધીન જ હોય ને ? પાંચ ઇન્દ્રિયોની ક્ષયોપક્ષમ શક્તિ ઉદયને આધીન છે. પછી ઇન્દ્રિયો જે જુએ જાણે તેમાં નવું ક્યાંથી હોય ? આ વાત સમજાય એમ છે કે નહીં ? અહીં સમજી જાય, પણ મારી હાજરી ખસે કે પાછું આવરણ આવી જાય. અમારી હાજરીમાં તમારાં આવરણો બધાં ખૂલી જાય, ને અમારું ‘જ્ઞાન’ લીધા પછી તો તે કાયમનું ખસી જાય ! કર્મબંધ શેનાથી થાય ? ‘હું ચંદુલાલ છું’, ‘હું આચાર્ય મહારાજ છું’ એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. અને ‘આ મારું છે’ એ ‘સેકન્ડરી’ કારણો છે. ‘કોઝિઝ’ ચાર્જરૂપે હોય. ‘હું ને મારું’ જ્યાં જ્યાં લગાડ્યું ત્યાં એટલાં જ ‘કોઝિઝ’ હોય છે. બીજાં કોઈ ‘કોઝિઝ’ હોતાં નથી. ચાર્જને પૂરણ કહેવાય અને એનું જે ‘ડિસ્ચાર્જ’ થાય છે તે બધું જ ગલન સ્વરૂપ છે. ખાલી વાત જ સમજવાની છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાનના ફણગા ફૂટે એટલે વિજ્ઞાનમાં બધું દેખાય. વિજ્ઞાનમાં શું ના દેખાય ? માટે વાતને સમજો. કશું કરવાની જરૂર નથી. વિજ્ઞાનમાં કરવાનું કશું રાખ્યું જ નથી. જો ‘કરે’ને તો ત્યાં સમકિત ના હોય ! કંઈ પણ ‘કરે’ તો ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય !! વિચારોમાં નિર્તન્મયતાપ્રશ્નકર્તા : વિચારો સતાવતા હોય ને ચિંતા ઊભી કરાવતા હોય, તેને કેવી રીતે અટકાવવા ? (પા.૭૭)દાદાશ્રી : વિચારવું એ ધર્મ કોનો છે ? એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધાં ગાળો દે છે તે આપણે કશું સાંભળવું નથી, તોય પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે. તે સાંભળ્યા વગર રહે નહીં. એવો મનનો સ્વભાવ છે. આપણને ના ગમતા હોય તોય તે વિચારો મહીં આવે. એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ જ્ઞેય છે ને ‘આપણે’ જ્ઞાતા છીએ. એટલે જે વિચારો આવે તેને ‘આપણે’ જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારા છે કે ખોટા છે, એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટા વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા થાય છે તેને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ પડેલો તેની નિર્જરા થઈ રહી છે. આ ‘જ્ઞાન’ આપણું ‘સંવર’વાળું છે એટલે નવું કર્મ બંધાય નહીં. વિચારોમાં તન્મયાકાર થઈએ તો કર્મ બંધાય. પ્રશ્નકર્તા : આ વિચારોનું પરિણામ શું આવશે ? દાદાશ્રી : પરિણામ ‘વ્યવસ્થિત’ને સોંપી દીધું. આપણે કશી લેવાદેવા નહીં. આપણે તો નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું. મન કહે, ‘ગાડી આગળ અથડાશે તો ?’ તેને આપણે જોયા જ કરવાનું, બસ. એનું પરિણામ ‘વ્યવસ્થિત’ને સોંપીને આપણે સિગરેટ પીતાં પીતાં આરામથી બેસી રહેવાનું. પ્રશ્નકર્તા : એટલું બધું સરળ નથી ને આ ? દાદાશ્રી : સરળ છે. જ્યારથી નક્કી કરીએ ત્યારથી રહી શકાય. કારણ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. પારકાના તાબામાં હોય તેમાં આપણે હાથ ઘાલવા જઈએ તો મૂરખ બનીએ ઊલટા. તમારા તાબામાં તો આટલું જ છે, ‘જોવું અને જાણવું’ કે શું હકીકત બની રહી છે, કશું ઊંધું-ચત્તું કરવાનું હશે તે ‘વ્યવસ્થિત’ કરશે. ખરેખર ‘વ્યવસ્થિત’ એવું હોતું નથી કે કશું બગડે. માણસ સિત્તેર વરસે મરે છે, પણ તે પહેલાં તો ‘મરી ગયો, મરી ગયો’ એમ અમથો અમથો બૂમો પાડ પાડ કરે છે (પા.૭૮)ને ભયથી ત્રાસ પામે છે. એવું ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે ‘‘આગળ ‘એક્સિડંટ’ થશે તો ?’’ તો અમે કહીએ કે તેં કહ્યું તેની અમે નોંધ કરી. પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનના બધા ‘ડિસ્ચાર્જ’ ભાવો છે. એ ‘ડિસ્ચાર્જ’ ભાવમાં જો ‘આપણે’ કદી તન્મયાકાર થઈએ તો ‘ચાર્જ’ ભાવ ઉત્પન્ન થાય. આપણે ‘એલીવેશન’ કે ‘ડિપ્રેશન’ માથે ના લેવું. કશું થવાનું નથી, કશું બગડતું નથી. હું ક્ષણવારેય સંસારમાં રહેતો નથી, તોય કશું બગડતું નથી. પ્રશ્નકર્તા : એટલે ભય નહીં રાખવાનો ? દાદાશ્રી : ભય હોય જ નહીં ‘આપણ’ને ! ‘આપણે શુદ્ધાત્મા’, તે ‘આપણ’ને કોઈ દેખી શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, મારી શકે એમ નથી, કોઈ નામ પણ દઈ શકે તેમ નથી ! આ તો પોતાના ભૂતભડકાટથી જગત ઊભું થયું છે. કોઈની વચ્ચે ડખલ નથી. અને ‘ચંદુભાઈ’ જરા નરમ થયા હોય તો ‘આપણે’ અરીસા સામું ઊભા રાખીને આમ ખભો થાબડીને કહેવું કે ‘‘અમે છીએ ને તમારી જોડે ! પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા. કોઈને કહેવાય એવું નહોતું. હવે તો જોડે જ છીએ. ગભરાઓ છો શું કરવા ? અમે ‘ભગવાન’ છીએ ને તમે ‘ચંદુભાઈ’ છો. માટે ગભરાશો નહીં.’’ જો ચંદુભાઈ બહુ ‘એલીવેટ’ થતા હોય તો તેમને કહેવું ‘અમારી સત્તાને લીધે તમારો આટલો રોફ પડે છે.’ એટલે આપણે ‘હોમ ડિપાર્ટમેન્ટ’માં બેઠાં બેઠાં ‘ફોરેન’નું પતાવ્યા કરવું. આ નિર્લેપ ‘જ્ઞાન’ છે, કશું અડે નહીં એવું છે ! મનના સ્વભાવની બધી હકીકત ઝીણવટથી સમજવાની જરૂર છે. બધી ચાવીઓ જાણવાની છે. દા. ત. પોલીસવાળો આવ-જાવ કરે છે તે શું અમારી પર હુલ્લડ કરવાનો છે ? ‘આપણે’ કહીએ, ‘ના’ તેમ નથી. પોલીસવાળા તમારા માટે આગળ નવી જગ્યા બાંધી આપે છે. તે આપણું હિત કરતા હોય એમ જાણીએ કે આ પોલીસવાળા આપણું નુકસાન કરવા આવ્યા છે એમ જાણીએ ? (પા.૭૯)મન મેસ્ક્યુલાઈન જેન્ડર નથી, ફેમિનાઈન જેન્ડર નથી, એ ન્યુટ્રલ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે જ્ઞાનની જાગૃતિ રાખવાની કે આપણને દાદાએ કહ્યું છે કે આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ. છો ને બૂમ પાડતા હોય, પાડવી હોય તેટલી પાડે. તે ઘડીએ આપણે જરા સ્થિરતા પકડી લેવી. ગો ટુ દાદા !અને બહુ દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ ‘દાદા’ પાસે. પ્રશ્નકર્તા : પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ? દાદાશ્રી : હા, હા. દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે ‘‘જા, દાદાની પાસે. અહીં શું છે ? ઇધર કયા હૈ ? સબ દે દિયા દાદાકો. અબ ઇધર ક્યોં આયા ?’’ પ્રશ્નકર્તા : સુખેય આપી દેવાનું ? દાદાશ્રી : ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઇધર ક્યોં આયા હૈ ? દાદા કો દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદ્ગલનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે. જે ‘દાદા ભગવાન’ છે તે અચિંત્ય ચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થાય. મુશ્કેલીમાં તેમને ચિંતવો તો મુશ્કેલીઓ બધી જતી રહે. જેવું ચિંતવો તેવું ફળ આપે. પછી આપણે શા માટે ભડકવાની જરૂર ? સદ્વર્તનનો અણગમોપ્રશ્નકર્તા : કેટલીક વાર સારું વર્તન કરે તોય આપણને ના ગમે. (પા.૮૦)દાદાશ્રી : ગમવાનો હિસાબ ચૂકતે થઈ ગયો, પછી ના ગમે. ગમતું હોય તો બધું સારું લાગે ને ના ગમતું હોય તો બધુંય ખોટું લાગે. આપણે ના ગમતા પર દ્વેષ નહીં કરવાનો. પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ નથી થતા, પણ એક વાર અભાવ આવી ગયો પછી ભાવ જ ના થાય કોઈ પણ રીતે ! દાદાશ્રી : તું રંગ આપ આપ કરું કે બહુ સારા માણસ છે, તોય ના ચઢે. હિસાબ ચૂકતે થઈ ગયો. આ ઘર વેચાઈ ગયા પછી એની પર ભાવ રહે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અને વેચાતાં પહેલાં ? કંઈ ઊંચુંનીચું થયું હોય તોય મનમાં રહ્યા કરે. હિસાબ ચૂકતે થયો કે ચાલ્યું. સંસારાનુગામી બુદ્ધિમતમાં ફરેલો હોય તેના સંસ્કાર જાય નહીં એકદમ. એ બધા સંસ્કાર સામા આવે એટલે પહેલેથી તમને ચેતવી દઉં છું. આ અલૌકિક વિજ્ઞાન છે. આની બધી જ વાત અલૌકિક છે. અહીં લૌકિક છે જ નહીં ! લૌકિક એટલે મતાગ્રહી. એ પછી દિગંબરી હોય કે શ્વેતાંબરી હોય, સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, તેરાપંથી-મેરાપંથી જાતજાતના પંથવાળા, વૈષ્ણવ ધર્મ હોય, શિવ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય. બધા લૌકિક ધર્મો કહેવાય. એ કંઈ ખોટું નથી. સારું કર્યું હોય તો પુણ્યૈ બંધાય અને તેમાં આગળ પછી ઘોડાગાડી, મોટર, બંગલા બધું મળે અને ‘આ’ અલૌકિક ધર્મથી મોક્ષ મળે. પ્રશ્નકર્તા : તમારી છાયામાં આવ્યા પછી બુદ્ધિ જો છેતરે તો એના જેવો દુર્ભાગી જીવ કોઈ નહીં. દાદાશ્રી : ના, તોય છેતરે. બહુ હોશિયારને પણ છેતરે. માટે તમે ઓળખી રાખો. બુદ્ધિ કંઈ પણ સલાહ આપવા આવે ત્યારે તેને (પા.૮૧)કહીએ કે ‘બેન, તું તારે પિયર જા. હવે મારે તારું કામ નથી. તારી સલાહેય સાંભળવી નથી.’ મનની સલાહ સાંભળવામાં વાંધો નહીં, પણ બુદ્ધિ એકલીની સલાહ ના સંભળાય. બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે. મોક્ષે જવા ના દે, એનું નામ બુદ્ધિ ! બુદ્ધિ નફો-તોટો દેખાડે. આમ થઈ જશે, તેમ થઈ જશે. પાછી એ મતાગ્રહવાળી. અભિગ્રહ શાનો ? મતનો. આત્માનો અભિગ્રહ કરવાને બદલે મતનો અભિગ્રહ કર્યો. બોલો, હવે એ ક્યારે ને કયે ગામ પહોંચે ? લાખ અવતાર થાય તોય કશું વળે નહિ. અંતરદાહ બળતો બંધ ના થાય. અને ‘જ્ઞાની પુરુષ’ની પાસે અંતરદાહ કાયમનો મટી જ જાય. જેટલી બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. બુદ્ધિ સંસારાનુગામી છે. સંસારમાં હિતકારી છે. પણ મોક્ષે જતાં વાંધો ઉઠાવે. મન તો ખાલી વિચાર જ કર્યા કરે છે. ડિસિઝન ના હોય, એનું નામ મન. ‘અનડિસાઈડેડ’ વિચારો, એનું નામ મન અને ‘ડિસાઈડેડ’ વિચારો, એનું નામ બુદ્ધિ ! અહીં બેઠો હોય ને ખોવાઈ જાય તો જાણવું કે ચિત્ત ભટકવા ગયું છે. ‘જ્ઞાની પુરુષ’ પાસે બેસે ત્યારે બુદ્ધિ સમ્યક્ થાય. ત્યારે એ બુદ્ધિ સાચી. સમ્યક્ બુદ્ધિ કેવી હોય ? મત ના હોય, ગચ્છ ના હોય, જુદાઈ ના હોય, બીજી કોઈ ભાંજગડ ના હોય અને ગચ્છમતવાળી બુદ્ધિ મિથ્યાબુદ્ધિ કહેવાય. ‘આ અમારું ને આ તમારું’ એમ જુદાઈ કરાવે ! આઉટર બુદ્ધિ - ઈનર બુદ્ધિ‘આઉટર’ બુદ્ધિ એ ‘મિકેનિકલ’ છે અને ‘ઈનર’ એ સ્વતંત્ર બનાવનારી છે. એ બુદ્ધિ પણ મિકેનિકલ છે. પ્રશ્નકર્તા : સ્વતંત્ર એટલે ? દાદાશ્રી : સ્વતંત્ર એટલે આ વર્લ્ડમાં કોઈ આપણો ઉપરી ના હોય. ‘નો બોસ.’ ભગવાનેય ઉપરી નહીં, એવું જોઈએ ! આ ઉપરીપણું કેમ પોસાય ? એક પણ ઉપરી હોય ત્યાં સુધી પરવશપણું કહેવાય ! પરવશપણું કેમ પોસાય ? એ ગમે ત્યારે ડફળાવે, એનું શું કહેવાય ? (પા.૮૨)માટે ઉપરી ના જોઈએ. તારી અણસમજણથી બધાં ઉપરી છે. એ સમજણ આપવા હું આવ્યો છું. મારો ઉપરી કોઈ નથી રહ્યો. એટલે હું એમ કહેવા માગું છું કે તમારો ઉપરી પણ કોઈ છે નહીં; માટે વાતને સમજો ! પ્રશ્નકર્તા : ‘મિકેનિકલ’ બુદ્ધિથી માણસ શું પામી શકે ? દાદાશ્રી : ‘મિકેનિકલ’ બુદ્ધિથી આ બધી સંસારની બાહ્ય ચીજો એને મળે. પ્રશ્નકર્તા : જો ‘મિકેનિકલ’ બુદ્ધિ હોય તો બધાંને સરખા પ્રમાણમાં જ બાહ્યવસ્તુ મળવી જોઈએ ને ? દાદાશ્રી : મિકેનિકલ બુદ્ધિ દરેકને જુદા જુદા પ્રમાણમાં હોય પાછી. સરખી હોતી જ નથી. આ આફ્રિકનને એના ‘ડેવલપમેન્ટ’ પ્રમાણે બુદ્ધિ હોય. એટલે મનુષ્યે મનુષ્યે ‘ડેવલપમેન્ટ’ જુદું. પ્રશ્નકર્તા : આમાં ‘મિકેનિકલ’ ક્યાં આવ્યું ? દાદાશ્રી : આ તું પોતે તારી જાતને જે માને છે તે બધું જ ‘મિકેનિકલ’ છે. તું પોતે જ ‘મિકેનિકલ’ છે. જ્યાં સુધી તારી ‘સેલ્ફ’ નહીં જાણે ત્યાં સુધી ‘મિકેનિકલ’ છે, પરવશપણું છે. આ શરીરેય ‘મિકેનિકલ’ છે અને ‘મિકેનિકલ’નો તો કાલે સવારે એકાદ ‘પાર્ટ’ ઘસાઈ ગયો કે ખલાસ ! ‘મિકેનિકલ’ એટલે પરવશતા. ખરેખર, તું પોતે જુદો છે આ મિકેનિકલ વસ્તુથી. આપણે રોજ પેટમાં ખાવાનું નાખવું પડે છે ને ? જો ‘મિકેનિકલ’ ના હોય ને તો એક જ ફેરો ખાધું એટલે એ કામ પૂરું થઈ જાય. એક ફેરો ખાધા પછી ફરી ખાવું ના પડે. આ તો પૂરણ કરીએ ને પાછું ગલન થાય. બધું ‘મિકેનિકલ’ છે. તું ‘પોતે’ આનાથી જુદો છે. તું પોતે આ ‘મિકેનિકલ’નો ‘જાણનાર’ છે. આ મશીનરી એક પ્રયોગ છે અને તું પ્રયોગી છે. આ પ્રયોગોનો તું ‘જાણકાર’ છે કે આ શું પ્રયોગ થઈ રહ્યો છે, ‘ચંદુલાલ’માં શું શું ફેરફાર થઈ રહ્યો છે ! તેના બદલે તું કહે છે કે ‘હું ચંદુલાલ છું’, તે એટલી બધી ભૂલ કેમ પોસાય ? (પા.૮૩)પ્રશ્નકર્તા : બુદ્ધિ ‘મિકેનિકલ’ ક્યાં આવી ? જાનવરોમાં બુદ્ધિ હોય કે નહીં, ઓછા-વત્તા પ્રમાણમાં ? દાદાશ્રી : જાનવરોમાં અંતઃકરણ સીમિત છે - ‘લિમિટેડ’ છે અને મનુષ્યોનું ‘અનલિમિટેડ’ છે. જાનવરોનું સીમિત હોવાને લીધે તેમાં ‘ડેવલપમેન્ટ’ વધારે થઈ શકે નહીં. એમનું મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર અમુક સીમામાં છે. આ ગાયને વાસણ દેખાડીએ તો એ દોડતી દોડતી આવે. એટલી એને સમજ છે. જોડે જોડે એને બીજી કઈ સમજ છે ? જો આપણે લાકડી લઈને નીકળ્યા હોઈએ તો એ પાસે ના આવે. બીજી એને ઊંઘવાની સમજ છે. તેમને મૈથુન છે. ભૂખ લાગે ત્યારે ખાવાની સમજ છે. શું ખવાય અને શું ના ખવાય, તેની પણ સમજ છે; જે મનુષ્યોને નથી ! આ બધાં જાનવરો ખાવાનું સૂંઘીને પછી ખાય. આ મનુષ્ય એકલાં જ કુદરતનાં બહુ ગુનેગાર ગણાય છે. પ્રશ્નકર્તા : ‘મિકેનિકલ’ બુદ્ધિ મનુષ્યને ક્યાં સુધીનું જ્ઞાન આપે છે ? દાદાશ્રી : સર્વનાશ કરે ત્યાં સુધી ! મિકેનિકલ બુદ્ધિ ‘અૅબવ નોર્મલ’ થાય એટલે એ સર્વનાશ લાવશે. આ જગત સર્વનાશ તરફ જઈ રહ્યું છે. ‘મિકેનિકલ’ બુદ્ધિ જ ‘અૅબવ નોર્મલ’ કરી રહ્યું છે. ‘આઉટર’ બુદ્ધિની ‘લિમિટ’ એટલી જ છે કે જેટલી આપણી જરૂરિયાત હોય, એના આધારે જ બુદ્ધિ વાપરવાની જરૂર છે. એમાં ‘એક્સેસ’ કરવા જાય, ‘આમ શું ને પેલું શું ?’ તે નુકસાન કરે. પ્રશ્નકર્તા : માણસ પોતાનું રક્ષણ કરે એ નેસેસિટી ખરી કે નહીં? દાદાશ્રી : કરે જ છે ને બધાં ! કોઈ જાણીજોઈને મરતું નથી. પ્રશ્નકર્તા : માણસને પોતાનું રક્ષણ કરવા ‘એટમિક ન્યુક્લિયસ’ (અણુબોમ્બ)ની જરૂર પડે ને ? દાદાશ્રી : આ ‘અન્નેસેસરી પ્રોબ્લેમ’ ઊભા કરે છે ! ‘ફોરેન’માં આવા ‘ડેવલપમેન્ટ’વાળા દેશો છે, જ્યાં સડસઠ માઈલ ઉપર ફોનની (પા.૮૪)વ્યવસ્થા રાખી હોય, પછી અડસઠ માઈલ પર રાખી હોય. હવે લોકો કહે છે કે સડસઠ માઈલના પહેલા ફર્લાંગ ઉપર અમારી ગાડીને પંકચર પડ્યું તો અમારે શું કરવું ? એટલે ત્યાં પણ ફોન રાખો જેથી અમારે ચાલવું ના પડે. પ્રશ્નકર્તા : એટલે સગવડ છે, તેના કરતાં વધારે સગવડ જોઈએ છે ? દાદાશ્રી : સગવડને અગવડ કરી આ લોકોએ. ‘અૅબવ નોર્મલ’ થયું કે અગવડ થઈ ? પ્રશ્નકર્તા : રક્ષણ કરવા માટે માણસ બુદ્ધિ વાપરે એ નોર્મલ કહેવાય ને ? આ એટમબોંબ બનાવે છે તે રક્ષણ માટે જ ને ? દાદાશ્રી : એનું નામ રક્ષણ ના કહેવાય. બીજો સામે બનાવે તો શું થાય ? પછી કેટલો બધો ભય રહે ? આ તો સામા માણસને દબડાવવા કર્યું છે. આવું રક્ષણ કરવાની જરૂર નથી. કુદરત આનું રક્ષણ કરી જ રહી છે. વગર કામનાં આવાં તોફાનો કરવાની જરૂર જ નથી. આવાં સાધનો જ ઊભાં ના કરવાં જોઈએ. મુંબઈના તળાવમાં ઝેર નાખી દે તો બધાં માણસો મરી જાય એ કંઈ બુદ્ધિ ના કહેવાય ! પ્રશ્નકર્તા : એ દુર્બુદ્ધિ કહેવાય ? દાદાશ્રી : એ દુર્બુદ્ધિય ના કહેવાય. એ તો ભયંકર ખાનાખરાબી કરી કહેવાય. પ્રશ્નકર્તા : મારે ‘મિકેનિકલ’ બુદ્ધિની ‘લિમિટ’ જાણવી છે. ‘ઈનર’ બુદ્ધિની શરૂઆત અને એની લિમિટ’ જાણવી છે. દાદાશ્રી : જાણીને તું શું કરીશ ? પ્રશ્નકર્તા : મારામાં કેટલી છે એ મારે જાણવું છે. દાદાશ્રી : આ તારી બધી ‘આઉટર’ (બાહ્ય) બુદ્ધિ જ છે. ‘ઈનર’ (આંતર) બુદ્ધિ હોત તો આ બાજુ વહેલો ઊતરી જાત, મારી જોડે તરત (પા.૮૫)જ ‘એડજસ્ટ’ થઈ જાત. તું પોતે કહેત કે ‘‘મારી ‘સેફ સાઈડ’નું કરી આપો. મારી સ્વતંત્રતાનું કરી આપો. આ પરવશતા મને નથી ગમતી.’’ પરવશતાઆ નરી પરવશતા ! ‘નિરંતર પરવશપણું ! જાનવરો પરવશ અને મનુષ્યોય પરવશ. તે કેમ પોસાય ? માથું દુઃખે તોય ઉપાધિ. પગ ફાટતો હોય, આંખો દુઃખતી હોય, દાંત દુઃખતો હોય તોય ઉપાધિ. આવી ભયંકર અશાતનાઓમાં કેમ જીવવાનું ? આ પરવશતા થોડીઘણી સમજાઈ છે તને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અનુભવમાં આવેલી છે ? પ્રશ્નકર્તા : હા. દાદશ્રી : તને એ ગમે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : પસંદ ના હોય તો એમ પૂછતો કેમ નથી કે પરવશતા કેમ જાય ? પ્રશ્નકર્તા : એ તો પોતાની મેળે માણસ એનું ‘સોલ્યુશન’ કાઢી શકે. દાદાશ્રી : અમુક હદ સુધી ‘સોલ્યુશન’ કાઢી શકે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પરવશતા વધે ને છેલ્લે મરતી વખતે તો પરવશતાનો પાર નથી રહેતો. ઘૈડપણમાં દાંત પજવે, શરીર પજવે, છોકરાં પજવે, ભઈઓ પજવે. છોકરાં કહે, ‘તમે બેસી રહો હવે, બહુ બોલ બોલ ના કરશો !’ કેટલી બધી પરવશતા ? પ્રશ્નકર્તા : પરવશતા અને ચિંતા, બે સાથે સાથે ના જાય ? (પા.૮૬)દાદાશ્રી : ચિંતા એ તો ‘અૅબવ નોર્મલ’ ‘ઈગોઈઝમ’ છે અને પરવશતા તો લાચારી છે. ‘અૅબવ નોર્મલ’ ‘ઈગોઈઝમ’ થાય તો ચિંતા થાય, નહીં તો થાય નહીં. આ ઘરમાં રાતે ઊંઘ કોને ના આવતી હોય? જેને ‘ઈગોઈઝમ’ વધારે છે તેને. પ્રશ્નકર્તા : આ સંયોગોમાં મારાથી પહોંચી વળાતું નથી એટલે ચિંતા થાય ને એનાથી બીજું ‘સ્ટેપ’ પરવશતાને ? દાદાશ્રી : એ પરવશતા તો આપણે ઊભી કરી છે. એક પરવશતા તો એની મેળે ઊભી થાય છે ને તે છે ઘૈડપણની. પરવશતા અને ચિંતાને કંઈ લેવાદેવા નથી. કોઈ પણ વસ્તુ બગડે તો ચિંતા થાય. પરિણામને આધારે ચિંતા થાય છે અને પરવશતા તો લાચારી છે. જગતને પરવશતા ગમતી નથી. પરવશતા એ જ નિર્બળતા છે. નિર્બળતા જાય તો પરવશતા જાય. નિર્બળતા હોય ત્યાં સુધી પરવશતા જાય નહીં, કારણ કે આપણે સામાને પણ નુકસાન કરીએ તો એ આપણને નુકસાન કરે. આપણે કોઈનું પણ નુકસાન ના કરીએ, કોઈના માટે પણ ખરાબ વિચાર ના કરીએ ત્યારે એ પરવશતા તૂટે. પ્રશ્નકર્તા : માણસને જીવન-જરૂરિયાત માટે ચિંતા હોય એટલે પાછી પરવશતા આવે જ ને ? દાદાશ્રી : એ પરવશતા જુદી છે. એ પોતે પોતાની જાળમાં પેઠો છે. ના પેસવું હોય તોય કુદરતી રીતે ઊભી થાય બધી. આ ઉંદરડો પાંજરામાં કંઈ દેખે તે અત્યારે પરવશ તો છે નહીં, પણ ખાવાનું દેખે છે એટલે લોભનો માર્યો મહીં પેઠો એટલે ફસાવાનો. પણ એ પરવશતા કોઈ દહાડો છૂટી જાય. આ ચિંતા કર્યાનું ફળ શું ? તો કહે, જાનવરપણું. પ્રશ્નકર્તા : ચિંતા ના થાય એના માટે ઉપાય શો ? દાદાશ્રી : પાછું ફરવું. ઈગોઈઝમ બાદ કરીને પાછું ફરવું. અગર (પા.૮૭)તો ‘ઈગોઈઝમ’ બિલકુલ ખલાસ કરવો જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ હોય તો, તે જ્ઞાન આપે તો ઈગોઈઝમ બધું ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : લાચારી એ શું ? દાદાશ્રી : લાચાર થયેલ માણસને પૂછીએ તો લાચારી સમજાય. અગર તો દેવું બહુ થઈ ગયું હોય, વસ્તુઓની મુશ્કેલી પડતી હોય, વાઈફ કહે કે ‘પેલું કેમ લાવતા નથી ?’ પાસે પૈસા ના હોય તે નરી પરવશતા લાગે. પરવશતામાંથી ‘સ્વવશ’ થવા માટે આ મહાવીરનું વિજ્ઞાન છે. અને પરવશતામાંથી ‘સ્વવશ’ થયા તો પરવશતા પછી અડતી જ નથી. પ્રશ્નકર્તા : આત્માને પરવશતા થતી નથી ને ? દાદાશ્રી : ના, આત્માને પરવશતા નથી. પ્રશ્નકર્તા : તો શરીર લાચારી અનુભવે છે ? દાદાશ્રી : ના, શરીરેય લાચારી અનુભવતું નથી. અહંકાર લાચારી અનુભવે છે. આધાર-આધારીપ્રશ્નકર્તા : જે થવાનું છે તે થયા જ કરે છે, ગમે તેટલું કરો. દાદાશ્રી : જે થવાનું છે એ થયા કરે છે એવું બોલાય જ નહીં. કો’ક ગાળ ભાંડે તે ઘડીએ ચિંતા ના થતી હોય તો એ જ્ઞાન કામનું છે. તને ચિંતા તો થઈ જાય છે. આખા હાલી જાઓ છો. નિર્બળતા ઊભી થઈ જાય. પ્રશ્નકર્તા : ચિંતા કોને થાય છે ? મને કે મારા આત્માને ? દાદાશ્રી : તને થાય છે. પ્રશ્નકર્તા : એટલે શરીરને થાય છે એમ ? (પા.૮૮)દાદાશ્રી : તને પોતાને તું તારી ‘સેલ્ફ’ જેને જાણે છે, તેને થાય છે. ‘શરીર મારું છે’ એવું જે માને છે, તેને ચિંતા થાય છે. પ્રશ્નકર્તા : ‘હું બોલ્યો, પણ તેમાં મને કંઈ લાગતું-વળગતું નથી.’ એમ હું કહી દઉં તો પછી ચિંતાનો કંઈ સવાલ જ નથી ને ? દાદાશ્રી : જો તને આ સંસાર અસરકારક ના હોય તો વાંધો જ નથી. આ જ્ઞાન સમજવાની જરૂર નથી. પણ તને કોઈ પણ રસ્તે આ સંસાર ‘ઈફેક્ટિવ’ (અસરકારક) છે ? આ બધું ‘રિલેટિવ’ છે. તને પોતાને અસર થાય છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે અસર થાય છે ત્યાં સુધી નિર્બળતા છે. ભયંકર નિર્બળતા ! માણસને અસર ના જ થવી જોઈએ. આ તો આવા બંગલા, મોટરો બધાં સાધનો હોય છે તોય અસર થાય છે, તો સાધન તૂટી જાય તો શું થાય ? માણસ કલ્પાંત કરી કરીને જિંદગી કાઢે ! માટે આજુબાજુ શું છે ? એ પહેલું જાણી લીધું હોય તો પછી આપણને એ અસરકારક રહે નહીં અને જાણ્યા વગર આપણે બધું માથે લેવું પડે. રાત્રે લોકો દુઃખો માથે મૂકીને સૂઈ જાય છે ને ઊંઘ આવતી નથી. જ્યારે શરીર થાકે છે ત્યારે ઊંઘ આવે છે. એ ‘લાઈફ’ કેમ કહેવાય ? ‘તું’ કોણ છે ? શેના આધારે ‘તું’ છે ? એની ખબર નથી. ‘આ શેના આધારે છે’ એની ખબર તો હોવી જ જોઈએ ને ? આધાર- આધારીનો સંબંધ પણ સમજવો જોઈએ ને કે આપણે શેના આધારે છીએ ? પોલીસવાળા આવે છે એવું ખાલી કોઈ કહે તો તેના આવતાં પહેલાં પોતે ફફડે ! આટલી બધી નિર્બળતા કેમ હોવી જોઈએ ? જગત તો બહુ ઊંડું છે. ઘણા અવતારનું જોયેલું છે. પણ યાદ રહે નહીં ને ? એટલે જાણવા જેવું જગત છે ! વળી આ જગતમાં શું કરવા જેવું છે ને શું કરવા જેવું નથી, (પા.૮૯)‘શું જાણવા જેવું છે ને શું જાણવા જેવું નથી’, એટલું જ સમજવાનું છે. કર્તાભાવ એ કુસંગપોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પ્રશ્નકર્તા : એનામાં નમ્રતા આવી જાય ? દાદાશ્રી : નમ્રતા આવે કે ના આવે, પણ સમકિત ત્યારથી ગણાય જ્યારથી પોતાના દોષ દેખાય. નહીં તો પોતાનો એકેય દોષ ના દેખાય. ‘હું જ કર્તા છું’ એમ રહે ! આપણા ‘જ્ઞાન’ને માટે કર્તાભાવ એ કુસંગ છે. ઊલટો એનો કેફ ચઢે. જ્યાં કર્તાપદ છે ત્યાં સમકિતેય નથી. સમકિત નથી ત્યાં મોક્ષની વાત કરવી એ ખોટી છે, નિરર્થક છે ! જેનું નિદિધ્યાસન કરો...પ્રશ્નકર્તા : દાદા, આપના સ્મરણ અને નિદિધ્યાસનમાં કંઈ ફેર ખરો ? દાદાશ્રી : નિદિધ્યાસન તો મુખારવિંદ સાથે રહે અને સ્મરણ મુખારવિંદ વગર રહી શકે. નિદિધ્યાસન, મુખારવિંદ સાથેનું બહુ કામ કાઢી નાખે. ‘દાદા’ ‘એક્ઝેક્ટ’ ના દેખાય તેનો વાંધો નથી. આંખો ના દેખાય તો ય વાંધો નથી. પણ મૂર્તિ દેખાવી જોઈએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. ‘દાદા’ પોતે સ્વભાવના કર્તા છે. દાદા ‘એક્ઝેક્ટ’ દેખાય તો તે સ્વરૂપ થવાય, આપણે પણ સ્વભાવના કર્તા થઈએ ! દાદાનું સ્મરણ રહે તોય સારું ને નિદિધ્યાસન રહે તો ય સારું. પ્રશ્નકર્તા : સતત નિદિધ્યાસન નથી રહેતું. દાદાશ્રી : દાદાના સ્મરણમાં મનની ચંચળતા રહે, ચિત્તની ચંચળતાય હોય અને નિદિધ્યાસનમાં ચંચળતા ના રહે. નિદિધ્યાસનમાં ચિત્તને ત્યાં રહેવું પડે. ચિત્ત હાજર હોય ત્યાં સુધી જ કામ ચાલે. મનની (પા.૯૦)ચંચળતાનો વાંધો નથી. પણ ચિત્તને ત્યાં હાજર જ રહેવું પડે અને જ્યાં ચિત્ત હાજર રહે ત્યાં મનને બેસી રહેવું પડે. છતાંય આખો દહાડો દાદાનું સ્મરણ રહે તો બહુ થઈ ગયું. પણ જોડે જોડે થોડું નિદિધ્યાસન રહે તો સારું. સ્વપ્નમાં તો દાદા ‘એક્ઝેક્ટ’ દેખાય. જેને ભજીએ તે રૂપ થયા કરીએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. ચિત્ત ઠેકાણે રહે તો નિદિધ્યાસન થાય. અધ્યાત્મનું વાતાવરણપ્રશ્નકર્તા : કોઈ રાજા-મહારાજાને ત્યાં અગર કોઈ સારી અનુકૂળ જગ્યામાં જન્મે, તો અધ્યાત્મમાં આગળ વધે ને ? દાદાશ્રી : હા. રાજા-મહારાજાઓને ત્યાંય જન્મે અને બીજું અહીં સારાં ઘરોમાં જન્મે કે જ્યાં આગળ, જ્યાં જાય ત્યાં માનભેર હોય. સાસરીમાં જાય તો ત્યાંય માનભેર હોય. જેને નાનપણથી અપમાન થયા કરે તે મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તેથી આ લોકોની પાસેથી માન લેવું છે. તે એનું ધ્યેય બદલાઈ ગયું હોય અને તે માનમાં ભળી ગયો હોય. તેને આ માનનો માલ પોસાય. બાકી બીજી ભીખ હોય તેને એ ના પોસાય. આ હિન્દુસ્તાનમાં જન્મ થયો એ અનંત અવતારના આધારે થયો છે. બાકી ફોરેનવાળા તો અધ્યાત્મમાં પુનર્જન્મ સમજતા નથી. વિકલ્પોથી વિશ્વની વણઝારઅહીં અરીસાભુવન હોય ને ત્યાં આપણે એકલા ઊભા હોઈએ તો આપણે દોઢસો દેખાઈએ ! એવું છે આ જગત ! વિકલ્પ કરે કે દેખાયું. વિકલ્પના પડઘા પડે છે આ. પ્રશ્નકર્તા : વિકલ્પના પડઘા પડે છે, તો પછી સંકલ્પનું શું પરિણામ ? (પા.૯૧)દાદાશ્રી : સંકલ્પને કશી લેવાદેવા નથી. વિકલ્પનો જ પડઘો પડે છે. ‘સંકલ્પ’ એટલે ‘મારું’ થયું. વિકલ્પ કર્યા પછી આ વસ્તુ આપણી થાય. ત્યારે આપણે સંકલ્પ કરીએ કે આ મારી છે. વિકલ્પથી જ આ બધું ઊભું થયું છે. એટલે સંકલ્પ નડતો નથી, વિકલ્પો જ નડે છે. નિર્વિકલ્પ બધું મટાડી દે એને. આ તો વિકલ્પ છે તો સંકલ્પ ઊભો થયો. નિર્વિકલ્પ થાય તો સંકલ્પેય નથી, વિકલ્પેય નથી ને કશુંય નથી. વિકલ્પ તો ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી વિકલ્પો જ છે, પછી આચાર્ય મહારાજ હોય કે ગમે તે હોય. ‘હું શુદ્ધાત્મા છું.’ એવું ભાન રહે તો નિર્વિકલ્પ કહેવાય. હવે નિર્વિકલ્પ થયા ત્યારે નિર્વિકલ્પ દશા કેમ રહેતી નથી ? ત્યારે કહે કે પાછલાં દેવાં, પાછલી કલમોનો જે ભંગ કરેલો તે કલમોના દાવા ચાલશે. ‘શુદ્ધાત્મા’ થયા પછી સંકલ્પ ને વિકલ્પ બેઉ ગયા. હવે મનમાંથી નીકળે તે બધા જ્ઞેય છે. હવે જ્યાં સુધી પોતે વિકલ્પી હોય ત્યાં સુધી એ જ્ઞેય દેખાય નહીં. એ તો મને જ વિચાર આવ્યો છે, એવું કહે. બાકી પોતે કલ્પ સ્વરૂપ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. પોતે નિર્વિકલ્પ કેમ કહેવાય ? ત્યારે કહે કે અજ્ઞાનતામાં વિકલ્પ કર્યો હતો તેથી જ્ઞાન પછી નિર્વિકલ્પ કહેવાય. પાછા આવ્યા માટે નિર્વિકલ્પ કહેવાયું. એક માત્ર સ્વરૂપ ભણી ચિંતવન વળે નહીં. તે મદિરા જ્ઞાની પુરુષ ઉતારે ત્યાર પછી એનું કંઈ વળે. શુભના મોટા મોટા વિકલ્પ કર્યા હોય તો તેય ફળ આપે. કોઈને મારી નાખવાના ભાવ કર્યા હોય તો એવું ફળ આવે ને દાન આપવાના ભાવ કર્યા હોય તો તેવું ફળ આવે. પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને કે જગત ‘વ્યવસ્થિત’ છે, તો પછી એને ફેરફાર કરવાનો વિકલ્પ કેમ આવે છે ? દાદાશ્રી : આ વિકલ્પો તો પહેલાં વિકલ્પ કરેલા, તેના ફળ રૂપે આવે છે. બીજ પડ્યાં હોય તો ઊગે જ ને ? ફરી પાછા તમે એને નીંદી ના નાંખો, ઊગવા દો તો તે ફરી એનાં બીજ પડે છે. નિર્વિકલ્પ (પા.૯૨)થયા પછી આને નીંદી નાખવાનું. ‘સમભાવે નિકાલ’ કરવા માંડ્યો, એ નીંદવા માંડ્યું કહેવાય. જગત તો તદ્દન ‘વ્યવસ્થિત’ છે. ભગવાને કેમ ખુલ્લું ના કર્યું ? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે, એટલા માટે સાચી વાત ના કહી. ‘વ્યવસ્થિત’ના જ્ઞાનથી તમને સંકલ્પ-વિકલ્પ થાય નહીં. આ જગતમાં કર્તાપણું મટે તો ‘વ્યવસ્થિત’ સમજાય. કર્તાપણું ના મટે ત્યાં સુધી ‘વ્યવસ્થિત’ સમજાય નહીં. પોતે અકર્તા થાય તો ‘આનો કર્તા કોણ છે’ એ સમજાય. પોતે નથી કર્તા, છતાં કર્તા માને છે એટલે આ સમજાય કેમ કરીને ? પ્રશ્નકર્તા : પોતાનું કર્તૃત્વ તો છોડતો નથી. દાદાશ્રી : હા. એટલે બીજાને કર્તાપણું થવા જ ના દેને ? બાકી જગત છે વ્યવસ્થિત. પણ કર્તાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થયો તો ય પણ કર્તા છે એટલે સંકલ્પ-વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ ‘વ્યવસ્થિત’ સમજાય નહીં એટલે ‘મારું હવે શું થશે’ એવો વિચાર આવે. વિજ્ઞાનથી મુક્તિપ્રશ્નકર્તા : મોક્ષમાં જવાની ભાવના છે પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું ? દાદાશ્રી : શેની ખામી છે ? પ્રશ્નકર્તા : કર્મો છે ને ? કર્મ તો કર્યા જ કરીએ છીએ. દાદાશ્રી : કર્મ શેનાથી બંધાય એવું આપણે જાણવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : અશુભ ભાવથી અને શુભ ભાવથી. દાદાશ્રી : શુભ ભાવેય ના કરે ને અશુભ ભાવેય ના કરે, તેને (પા.૯૩)કર્મ બંધાય નહીં. શુદ્ધ ભાવ હોય તેને કર્મ ના બંધાય. અશુભ ભાવથી પાપ બંધાય ને શુભ ભાવથી પુણ્ય બંધાય. પુણ્યનું ફળ મીઠું આવે અને પાપનું ફળ કડવું આવે. ગાળો ભાંડે ત્યારે મોઢું કડવું થઈ જાય છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને ફૂલહાર ચઢાવે તે ઘડીએ ? મીઠું લાગે. શુભનું ફળ મીઠું ને અશુભનું ફળ કડવું અને શુદ્ધનું ફળ મોક્ષ ! પ્રશ્નકર્તા : જીવ મુક્તિ ક્યારે પામે ? દાદાશ્રી : શુદ્ધ થાય તો મુક્તિ પામે. શુદ્ધતાને કશું અડે જ નહીં. શુભને અડે. આ શુભનો માર્ગ જ નથી. આ શુદ્ધનો માર્ગ છે. એટલે નિર્લેપ માર્ગ છે. આ ‘વિજ્ઞાન’ છે. ‘વિજ્ઞાન’ એટલે બધી રીતે મુક્ત કરાવડાવે. જો શુદ્ધ થયો તો કશું અડે નહીં અને શુભ છે તો અશુભ અડશે. એટલે શુભવાળાને શુભ રસ્તો લેવો પડે. એટલે શુભમાર્ગી જે કરતા હોય તે બરાબર છે. પણ આ તો શુદ્ધનો માર્ગ. શુદ્ધ ઉપયોગી બધા. એટલે બીજી કશી ભાંજગડ જ નહીં. આ માર્ગ જુદી જ જાતનો છે. વિજ્ઞાન છે આ ! વિજ્ઞાન એટલે જે જાણવાથી જ મુક્ત થવાય. કરવાનું કશું જ નહીં. જાણવાથી જ મુક્તિ ! આ બહાર છે તે જ્ઞાન છે. જ્ઞાન એટલે ક્રિયાકારી ના હોય અને આ વિજ્ઞાન ક્રિયાકારી હોય. આ ‘વિજ્ઞાન’ પ્રાપ્ત થયા પછી અંદર તમને ક્રિયા કર્યા જ કરે. શુદ્ધ ક્રિયા કરે. અશુદ્ધતા એને અડે જ નહીં. આ વિજ્ઞાન જુદી જ જાતનું છે. ‘અક્રમ વિજ્ઞાન’ છે !! પ્રશ્નકર્તા : નિષ્કામકર્મ કહ્યું છે તે આ ? દાદાશ્રી : નિષ્કામકર્મ એ જુદી જાતનું છે. નિષ્કામકર્મ એ તો એક જાતનો રસ્તો છે. એમાં તો કર્તાપદ જોઈએ. પોતે કર્તા હોય તો નિષ્કામકર્મ થાય. અહીં કર્તાપદ જ નથી. આ તો શુદ્ધ પદ છે. જ્યાં કર્તાપદ છે ત્યાં શુદ્ધ પદ નથી, શુભ પદ છે. (પા.૯૪)પ્રશ્નકર્તા : શુદ્ધતા લાવવા શું કરવું ? દાદાશ્રી : કરવા જશો તો કર્મ બંધાશે. ‘અહીં’ કહેવાનું કે અમારે આ જોઈએ છે. કરવાથી કર્મ બંધાય છે. જે જે કરશો, શુભ કરશો તો શુભનાં કર્મ બંધાશે, અશુભ કરશો તો અશુભનાં બંધાશે અને શુદ્ધમાં તો કશું જ નથી. જ્ઞાન એની મેળે જ ક્રિયાકારી છે. પોતાને કશું કરવું ના પડે. પોતે મહાવીરના જેવો જ આત્મા છે પણ ભાન થયું નથી ને ? આ ‘અક્રમ વિજ્ઞાન’થી એ ભાન થાય છે. જાગૃતિ ખૂબ વધી જાય છે. ચિંતા બંધ થઈ જાય, મુક્ત થઈ જવાય ! સંપૂર્ણ જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ ‘કેવળજ્ઞાન’ વિજ્ઞાન છે. જેવું તેવું નથી. એટલે આપણું કામ નીકળી જાય. પ્રશ્નકર્તા : આપ જેટલા ‘જ્ઞાની’ છો તેટલું જ્ઞાન મેળવવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : એમની પાસે બેસવું. એમની કૃપા પ્રાપ્ત કરવી. બસ બીજું કશું કરવાનું નથી. ‘જ્ઞાની’ની કૃપાથી જ બધું થાય. કૃપાથી ‘કેવળજ્ઞાન’ થાય. કરવા જશો તો તો કર્મ બંધાશે, કારણ કે ‘તમે કોણ છો ?’ એ નક્કી થયેલું નથી. ‘તમે કોણ છો ?’ એ નક્કી થાય તો કર્તા નક્કી થાય. સાપેક્ષ વ્યવહાર‘વ્યવહાર શું છે’ એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય. આ વ્યવહાર બધો ‘રિલેટિવ’ છે અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઈઝ ધી પરમેનન્ટ એડજસ્ટમેન્ટ ! નાશવંત વસ્તુમાં પોતાપણાનો આરોપ કરવો એ ‘રોંગ બીલિફ’ છે. ‘હું ચંદુભાઈ છું, આનો ધણી છું’ એ બધી ‘રોંગ બિલીફ’ છે. તમે ‘ચંદુભાઈ’ છો એમ નિશ્ચયથી માનો છો ? પુરાવો આપું ? ‘ચંદુભાઈ’ને ગાળ ભાંડે તો અસર થાય કે ? (પા.૯૫)પ્રશ્નકર્તા : જરાય નહીં. દાદાશ્રી : ગજવું કાપે તો અસર થાય છે ? પ્રશ્નકર્તા : થોડી વાર થાય. દાદાશ્રી : તો તો તમે ‘ચંદુભાઈ’ છો. વ્યવહારથી ‘ચંદુભાઈ’ હો તો તમને કશું અડે નહીં. પ્રશ્નકર્તા : જો એવું હોય તો તો આપણામાં ને બીજામાં ફેર જ શો ? ખોટી વસ્તુને ત્યજવી જ જોઈએ. એટલો પ્રયત્ન ધીમે ધીમે કેળવીએ તો ફેર પડતો જાય છે. દાદાશ્રી : જો મોક્ષે જવું હોય તો ખોટી-ખરીનાં દ્વંદ્વ કાઢી નાખવાં પડશે અને જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો ને સારી વસ્તુનો રાગ કરો અને શુદ્ધમાં સારી-ખોટી બેઉ ઉપરેય રાગ-દ્વેષ નહીં. ખરેખર સારી-ખોટી છે જ નહીં. આ તો દ્રષ્ટિની મલિનતા છે. તેથી આ સારી-ખોટી દેખાય છે અને દ્રષ્ટિની મલિનતા એ જ મિથ્યાત્વ છે, દ્રષ્ટિવિષ છે. દ્રષ્ટિવિષ અમે કાઢી નાખીએ છીએ. વિનય અને પરમ વિનયવીતરાગનો આખો માર્ગ જ વિનયનો માર્ગ છે. આ વિનયધર્મની શરૂઆત જ હિન્દુસ્તાનમાંથી થાય છે. હાથ જોડવાની શરૂઆત અહીંથી જ થાય છે તે ત્યાંથી માંડીને ઠેઠ સાષ્ટાંગ દંડવત્ સુધી જાય છે. વિનયધર્મ તો પાર વગરના છે અને પરમ વિનય ઉત્પન્ન થાય એટલે મોક્ષ થાય. પ્રશ્નકર્તા : ‘પરમ વિનય’ સમજાવો. દાદાશ્રી : જ્યાં વાદ-વિવાદ ના હોય, ડખો ના હોય, જ્યાં કાયદા ના હોય, કાયદા હોય ત્યાં પરમ વિનય સચવાય નહીં અને આપણે કાયદાના બંધનમાં રહેવું પડે. આપણે તો ‘વ્યવસ્થિત’ કરે, તેને જોયા કરનારા. બીજું આપણને ક્યાં પોસાય ? ‘રિલેટિવ’ ધર્મોમાં પણ જ્યાં વિનય છે ત્યાં મોક્ષમાર્ગ છે અને (પા.૯૬)વિનય જો અટકે નહીં તો મોક્ષ જ છે. પ્રશ્નકર્તા : વિનય અને પરમ વિનયમાં શો ફરક છે ? દાદાશ્રી : બહુ ફરક છે. પરમ વિનય તો માણસને ઉત્પન્ન જ ના થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય થાય અને તેનાથી જુદાઈ લાગે જ નહીં. અભેદ દ્રષ્ટિ થાય, અભેદ બુદ્ધિ થાય અને જ્યાં સુધી વિનય છે ત્યાં સુધી ‘હું અને ગુરુ મહારાજ’ બધા જુદા જ છે. છતાંય એ વિનય ‘પરમ વિનય’માં લઈ જનારો છે. એ પણ એક સ્ટેશન છે. ‘જ્ઞાની પુરુષ’ તમારા અવિનયની નોંધ ના કરે. તમારે સમજી લેવાનું કે મારે શું વિનય કરવો ને શું નહીં ? અને તમારી ભૂલ થાય એવું અમે જાણીએ અને આ દુષમકાળમાં અવિનયની તો નોંધ જ ના થાય ને ? ચોથા આરામાં અવિનયની નોંધ કરવી પડે. અત્યારે તો ‘લેટ ગો’ કરવું પડે. ઊલટું, અવિનય કરે તેને આશીર્વાદ આપવો પડે ! મિથ્યાભાસમિથ્યાભાસ એટલે શું ? એક મોટા ફંકશનમાં, મોટા મોટા પ્રધાનો આવેલા. ત્યાં મંચ પર બધા બેઠેલા ત્યારે મને હઉ મંચ ઉપર એમની જોડે બેસાડેલો. મને જ્યારે જ્ઞાન નહોતું થયું ત્યારે મનમાં એવી ભાવના થયા કરે કે અહીંના કરતાં આવી જગા ઉપર બેસવાનું આવે તો સારું. તે દહાડે મને એની કિંમત હતી અને અત્યારે મંચ ઉપર બેસાડે તો બોજારૂપ લાગ્યા કરે, એનું નામ મિથ્યાભાસ. પ્રશ્નકર્તા : પણ દાદા, તમને દુઃખરૂપ કે બોજારૂપ ના લાગે ને? દાદાશ્રી : ના, એમ બોજારૂપ ના લાગે. પણ એમાં ‘ઇન્ટરેસ્ટ’ ના હોય. એટલે મુક્ત જેવું હોય. અમને હવે ક્યાંય ‘ઇન્ટરેસ્ટ’ ના હોય. પ્રશ્નકર્તા : ધીરે ધીરે અમને પણ ‘ઇન્ટરેસ્ટ’ ઓછો થતો જાય છે. પછી જીવવું કેવી રીતે ? દાદાશ્રી : એ મોહ હતો. મોહ માર ખવડાવે. હવે તમને માર (પા.૯૭)ના ખવડાવે ને સંસાર ચાલ્યા કરે. રસ વગર ‘સમભાવે નિકાલ’ કરવો. પ્રશ્નકર્તા : એ સારું કહેવાય ? દાદાશ્રી : એ ‘જ્ઞાની’ કહેવાય, ‘ઇન્ટરેસ્ટ’ સિવાય કરે એ ‘જ્ઞાની’ કહેવાય. પ્રશ્નકર્તા : રસ વગર કોઈ વસ્તુ કરીએ તો તેની શરીર ઉપર અસર ના થાય ? દાદાશ્રી : જે ‘ઇન્ટરેસ્ટ’ હતો, તે શરીર પર મોહનો માર ખવડાવતો હતો. તેની શરીર પર અસર પડતી હતી. આનાથી તો શરીર સારું થાય. ગુલાબની પેઠ ખીલે. પેલું તો મોઢા પર દિવેલ ફરી વળેલું હોય. સહજતા અને દેહાધ્યાસપ્રશ્નકર્તા : દેહ સહજ થાય, એને દેહાધ્યાસ કહેવાય ? દાદાશ્રી : સહજ તમે શેને સમજ્યા ? સહજની ભાષામાં સહજ સમજ્યા છો કે તમારી ભાષામાં ? ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. ‘મને કેમ કર્યું ?’ તો તે દેહાધ્યાસ. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. પ્રશ્નકર્તા : દેહ સહજ થયો ક્યારે ગણાય ? દાદાશ્રી : આપણા દેહને કંઈ પણ કરે તો ય આપણને રાગ-દ્વેષ ના થાય તેનું નામ સહજ. આ અમને જોઈને સમજી લો ને કે સહજ કોને કહેવાય ? સહજ એટલે સ્વાભાવિક, કુદરતી, વિભાવિક દશા નહીં. પોતે ‘હું છું’ એવું ભાન નહીં. પ્રશ્નકર્તા : સહજ ક્યારે થાય ? દાદાશ્રી : આ ‘જ્ઞાન’ પરિણામ પામે ને કર્મો બધાં ઓછાં થઈ જાય એટલે સહજ થતો જાય. અત્યારે અંશે અંશે કરીને સહજ થઈ રહ્યો (પા.૯૮)છે તે સંપૂર્ણ સહજ થઈ જાય. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જાય, જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ થાય. હવે તમને ખાતરી થઈ ગઈ છે ને કે માર્ગ મળી ગયો છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જેને એ ખાતરી થઈ જાય તેનો અંત આવે. દરેક વસ્તુનો અંત આવે; વિચારનો અંત આવે; જ્ઞાનનો અંત આવે. બધાંનો અંત આવે. પણ એક અજ્ઞાનનો અંત ના આવે ! દ્રષ્ટામાં દ્રષ્ટિ પડી એવું જે કહે છે ને એ તો દ્રષ્ટાથી ઘણાં છેટે છે. એમને દ્રષ્ટા પ્રાપ્ત કરતાં કરતાં તો ઘણો કાળ જશે. આ તો આપણને દ્રષ્ટા પ્રાપ્ત થઈ ગયેલો છે. જેને જગત ખોળે છે તે આપણી પાસે છે. હવે એનો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ કેમ કરવો એ આપણું કામ, એ પુરુષાર્થ કહેવાય. તમે ઘરમાંથી બહાર નીકળો એટલે શુદ્ધ ઉપયોગ મૂકો એટલે રિયલ ને રિલેટિવ બધું જોતાં જોતાં આગળ જવાય. તે વખતે શુદ્ધ ઉપયોગ રહે. અહીં કોઈની જોડે વાતચીત કરવા માંડી તે ઘડીએ વાતચીત કરતા રહીએ અને શુદ્ધ ઉપયોગ મહીં રાખ્યા કરાય. વાતચીત કરે એ ‘ચંદુલાલ’ કરે ને ‘આપણે’ બધું જોયા કરીએ. ઉપયોગ એ રીતે રહી શકે એમ છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી. મનમાં તન્મયાકાર પરિણામ ના હોય, વાણીમાં તન્મયાકાર પરિણામ ના હોય, વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય, એનું નામ શુદ્ધ ઉપયોગ. જાગૃતિ આવતાં વાર લાગે. ધીમે ધીમે જેમ જેમ કષાયો ઉપશમ થાય, નિકાલી કષાયો - ‘ડિસ્ચાર્જ’ કષાયો ઓછા થાય તેમ તેમ જાગૃતિ વધે. હવે નવા કષાય ચાર્જ થાય નહીં, પણ જે ‘ડિસ્ચાર્જ’ કષાયો છે તેનું ‘ડિસ્ચાર્જ’ થયા જ કરવાનું. અમે તમારે ઘેર આવ્યા ને તમે વાઈફ જોડે અકળાયા હો તો અમે કંઈ નોંધ ના કરીએ કે તમે આ ખોટું કરો છો. એ અકળામણ તમારી ‘ડિસ્ચાર્જ’ થતી છે. તમને ‘જ્ઞાન’ આપ્યું છે એટલે તમે કાચા (પા.૯૯)ના પડો. પણ ‘ડિસ્ચાર્જ’ તો થાય જ ને ? અમે એટલું જ જોઈ લઈએ કે ઉપયોગ હતો કે નહીં. પ્રશ્નકર્તા : દ્રષ્ટિનો દ્રષ્ટા ગોતવાની વાત હજુ મને સમજાઈ નથી, તે મને જરા સમજાવો. દાદાશ્રી : આપણે દ્રષ્ટા ગોતીને બેઠા છીએ પણ જેને સ્વરૂપનું ભાન ના હોય તેને કહીએ કે ‘‘તારી દ્રષ્ટિ પડે છે એ તો દ્રશ્ય છે. પણ ત્યાં દ્રષ્ટા કોણ છે, તેની તપાસ કર.’’ એવું અમે કહેવા માંગીએ છીએ. બહાર તો આ ઇન્દ્રિયદ્રષ્ટિ છે. પણ જ્યારે મનની બધી ક્રિયાઓ- મન શું શું બોલે છે ? શું વિચારે છે ? પછી બુદ્ધિની ક્રિયા-બુદ્ધિ શું શું દેખાડે છે ? પછી ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે ? અહંકાર ‘ડિપ્રેસ’ થાય છે કે ‘એલીવેટ’ થાય છે ? આ બધાને જોયા કરવું એ જ આપણો દ્રષ્ટા. દ્રષ્ટિનો વિષય એ દ્રશ્ય ને આપણે દ્રષ્ટા. પ્રશ્નકર્તા : બહારના કે અંદરના કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ ઉદય હોય ત્યારે આપણે જાણીએ કે આ મારો સ્વભાવ નથી, ત્યારે અનુભવ થાય ને ? દાદાશ્રી : હા, થાય ને ! મારો સ્વભાવ આ નથી એવું જે સમજે છે તે ‘પોતાના સ્વભાવ’માં સ્થિર થાય છે. ગમે તેટલા ‘ચંદુલાલ’ અકળાયા હોય તોય ‘તમારી’ જાગૃતિ જાય નહીં એવું આ જ્ઞાન છે અને અકળામણ તો થયા વગર રહેવાની જ નહીં, કારણ કે મહીં ભરેલો માલ છે ને ? ‘ડિસ્ચાર્જ’ એટલે ઊલટી થાય છે એના જેવી વાત ! કોઈ માણસની ઊલટી આપણા પર થઈ તેથી કરીને તેને વઢાય નહીં, કારણ કે એને બિચારાને કરવું નથી પણ થઈ જાય. તેને એ શું કરે ? એમ આ કષાયો ઊલટીની જેમ ‘ડિસ્ચાર્જ’ થાય છે. પછી સારું થઈ જાય, ભૂમિકા ચોખ્ખી થતી જાય. ઉપયોગ કોને કહેવાય કે હજાર હજારની નોટ ગણતો હોય ત્યાંથી (પા.૧૦૦)એનો ઉપયોગ બીજી જગ્યાએ જાય ખરો ? એનું નામ ઉપયોગ કહેવાય. એવો ઉપયોગ અમારો નિરંતર રહેવાનો. અમારી હાજરીમાં રહો તો તમારેય ઉપયોગ રહે. પ્રશ્નકર્તા : આ પદમાં કે બીજામાં જુદા જુદા પ્રમાણમાં રસ હોય છે એટલે એવું થાય છે ? દાદાશ્રી : રસને કેળવવાની જરૂર નથી. આપણે તો ઉપયોગ દેવાનો છે. આપણે કહી દેવાનું, ‘‘ચંદુલાલ, દાદાના દરબારમાં બેઠા છો. હવે અહીં જે જે ચાલે તેમાં તમે ઉપયોગ દઈને ચાલો.’’ પછી આપણે ‘જોયા’ કરવાનું, ઉપયોગ ચૂકો તો તરત કહેવાનું, ‘‘ચંદુલાલ ચૂક્યા, આવું ના હોવું જોઈએ.’’ મને કોઈ પાંચની નોટ કે દસની નોટનું પરચૂરણ આપે તો હું કોઈ દહાડો ગણવા ના બેસું. ૨૫-૫૦ પૈસા ઓછા આપ્યા હશે પણ એટલું ગણતાં મારો ટાઈમ કેટલો નકામો જાય ? લક્ષ્મીજીની બાબતમાં નિઃસ્પૃહ નથી થઈ જવાનું, પણ તેમાં ઉપયોગ ના દેવાય. ઉપયોગ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ ઉપયોગ ક્યાં સુધી દેવાનો છે ? રાત-દહાડો ‘દાદા’ સાંભર સાંભર કરે. એમના વગર ગમે નહીં. એમનો વિરહ લાગે ત્યારે એમાંથી ‘ઇલેક્ટ્રિસિટી’ ઝરતાં પ્રકાશ મારે, આખો સ્વયં પ્રકાશ ! વિરહીની વેદનાવિરહીની વેદના ઉત્પન્ન થાય. વિરહીનો અર્થ શો ? ચેન જ ના પડે. ત્યારે સમજવું કે જંજાળથી છૂટ્યા. નવી પરણેલી હોય તેનો વર ઓફિસે જાય તોય બહેનનું ચિત્ત ધણીમાં ને ધણીમાં જ રમતું હોય - અહીં રસોઈ બધી સરસ બનાવે તોય. આ તો એવું છે ને કે પરમાત્મા એ અભેદ સ્વરૂપે છે. અભેદ સ્વરૂપના વિરહો લાગે તો સંસાર તો તમારો બહુ જ સુંદર ચાલે. આ તો ડખો કરે ઊલટો. સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા (પા.૧૦૧)પછી મહીં જેમ સહેજે ચાલે છે, તેના કરતાં બહાર વધારે સહેજે ચાલે તેમ છે ! કુદરતનો નિયમ એવો છે કે મહીં પાચક રસોનું પ્રમાણ આજે એવું નાખે કે આખી જિંદગી એનું પ્રમાણ સચવાય ને અક્કરમી એવું નાખે કે આજે નાખે ને તો બીજી સાલ દુકાળ પડે !!! પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ’ના વિરહમાં જે વેદના ઉત્પન્ન થાય એને કેવી વેદના કહેવાય ? દાદાશ્રી : એ વેદના તો ઓહોહો ! મહીં ‘ઈલેક્ટ્રિસિટી’ ઉત્પન્ન થાય અને તેનાથી સ્વરૂપ તેજવાન થતું જાય. એ તો બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. વિરહની વેદનાનો તો મહાભાગ્યે જ ઉદય થાય. ઘણાં કાળના પરિચયથી તેને એ થાય. જેને મોક્ષે જવાનું હોય તેને એ વેદના જાગે ! એની તમારે બહુ ઉતાવળ કરવા જેવી નથી. આટલા બધા અવતાર બગાડ્યા, હવે એક-બે અવતાર માટે શી ખોટ જવાની છે ? આટલા અવતાર ભટક ભટક કર્યા, તેનો થાક ના લાગ્યો ને હવે બે અવતાર માટે થાક લાગી જવાનો છે ? સચ્ચિદાનંદ સ્વરૂપપોતાનું સ્વરૂપ જે છે, એનું નામ જ સચ્ચિદાનંદ. સત્-ચિત્-આનંદ. આ અસત્ ચિત્ત થઈ ગયેલું. તે સુખેય કલ્પિત છે ને દુઃખેય કલ્પિત છે. કલ્પિત છે છતાં અસર સાચા જેવી થાય છે ! સચ્ચિદાનંદ એ મૂળ સ્વરૂપ છે આપણું. પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ દરેકની અંદર છે ? દાદાશ્રી : હા, જીવમાત્રની અંદર છે અને તે જ પરમાત્મા છે ! સચ્ચિદાનંદ સ્વરૂપના બે ભાવ છે. એક સ્વભાવ છે ને બીજો વિભાવ. વિભાવ એટલે વિશેષ ભાવ, વિરુદ્ધ ભાવ નહીં. આ તો સંયોગોના દબાણથી ‘રોંગ બીલિફ’ થઈ ગઈ છે. પ્રશ્નકર્તા : આ સચ્ચિદાનંદ સ્વરૂપ સાકાર છે કે નિરાકાર ? (પા.૧૦૨)દાદાશ્રી : એ રૂપી નથી, અરૂપી છે એ વાત સમજવા જેવી છે. એકદમ એ સમજવાની જરૂર નથી. અત્યારે કેવી રીતે પામીએ, એ સમજવાની છે. નિરાકાર કહ્યું છે તે અત્યારે નિરાકાર સમજી લો, પછી આગળનું સમજાશે. નિરાકાર તો અમુક હેતુસર કહેવામાં આવ્યું છે. કેટલીક હેતુસરની વાતો એવી હોય છે કે તે હેતુ પૂરો થયા પછી સમજાય. આત્મા નિરંજન તો છે જ. એને કર્મ કંઈ અડ્યાં જ નથી. આજે પણ તમારો આત્મા ‘શુદ્ધાત્મા’ છે. ચોખ્ખો દેખાય છે. પણ તમે માની બેઠા છો કે મારાથી નર્યાં પાપ થયાં, પુણ્ય થયાં. બધી ‘રોંગ બિલીફ’ બેઠી છે. ‘જ્ઞાની પુરુષ’ ‘રોંગ બિલીફ’ તોડી આપે ને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે. ‘રાઈટ બિલીફ’ બેસી જાય એટલે ‘હું ભગવાન જ છું’ એવું ભાન થાય. પ્રશસ્ત મોહમાયા એટલે અજ્ઞાનતા. માયા જેવી વસ્તુ નથી. માયા ‘રિલેટીવ’ છે. વિનાશી છે અને આપણે અવિનાશી છીએ. એ કેટલા દહાડા રહે? જ્યાં સુધી આપણને વિનાશી ચીજો પર મોહ હોય ત્યાં સુધી માયા ઊભી રહે. આપણને સ્વરૂપનો મોહ ઉત્પન્ન થાય, ‘હું શુદ્ધાત્મા છું.’ એ મોહ ઉત્પન્ન થાય એટલે માયા ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : અમુક વખત પછી સ્વરૂપનો મોહ પણ ના રહેવો જોઈએ ને ? દાદાશ્રી : સ્વરૂપનો મોહ તો સારો. એને મોહ ગણાતો નથી. એને આપણી ભાષામાં મોહ કહીએ છીએ. મોહ એટલે તો મૂર્છા કહેવાય. એને ખરેખર તો આત્માની રુચિ ના કહેવાય. અને દેહનો મોહ કહેવાય. આત્માની રમણતા આવી એટલે પર-રમણતા દૂર થાય. એનો સંસાર ટળ્યો ! પ્રશ્નકર્તા : આ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીએ દૂર કર્યા તે એમનો મોહ હતો માટે. તો એ કઈ ‘ટાઈપ’નો મોહ કહેવાય ? (પા.૧૦૩)દાદાશ્રી : એ પ્રશસ્ત મોહ હતો. જે મોક્ષે જનારા હોય તેની પરેય મોહ થઈ જાય. તેને પ્રશસ્ત મોહ કહ્યો. છેવટે એ પ્રશસ્ત મોહ નુકસાનકારક નથી. એ ‘વસ્તુ’ આપી દેશે. જરાક જ્ઞાન મોડું થાય, પણ તેનો વાંધો શો છે ? વીતરાગો ઉપર મોહ, જેનાથી વીતરાગતા આવે એવી બધી વસ્તુ પર મોહ, એનું નામ પ્રશસ્ત મોહ. પછી એ મોહ મૂર્તિ ઉપર કેમ ના હોય, પણ એ વીતરાગતા લાવનારી વસ્તુ છે માટે એ પ્રશસ્ત મોહ કહેવાય. પ્રશ્નકર્તા : આપના ઉપર મોહ હોય તો તે પ્રશસ્ત કહેવાય ને ? દાદાશ્રી : હા, ‘જ્ઞાની પુરુષ’ ઉપર મોહ તે તો બહુ ઉત્તમ કહેવાય. કેટલાય અવતાર ત્યાગ કરે, નાગા ફરે ત્યારે એને સંસારનો મોહ ઘટી ગયેલો હોય, ત્યારે એને ‘જ્ઞાની પુરુષ’ મળી આવે. મન, વિરોધાભાસીપ્રશ્નકર્તા : મન સમજે છે કે આ બાજુ ફસામણ છે, પોસાતું નથી ને બીજી બાજુ સંસારી વિચારો આવ્યા કરે. તે શું છે ? દાદાશ્રી : એવું છે કે મન વિરોધાભાસી હોય. આપણી સમજણ પ્રમાણે મન કામ કર્યા કરે. આપણે જાણીએ કે અમદાવાદ ‘નોર્થ’માં છે એટલે આપણે આપણી સ્ટીમર હાંકીએ, પણ પછી આપણી સમજણ ફરી ગઈ કે ભૂલથી બીજી બાજુ વાળીએ તો અમદાવાદ આવે કંઈ ? એટલે મન એ સ્ટીમર જેવું છે. આપણે જેવું વાળીએ એવું કામ આપે. એટલે મનને સમજણ બહુ સારી આપવી જોઈએ, આપણા જ્ઞાનથી. પછી મન ‘ફર્સ્ટ કલાસ’ ચાલે. મન આ વાત પકડે નહીં ને પકડ્યા પછી પાછું છોડે નહીં. પ્રશ્નકર્તા : તો દાદા, એને પકડવા માટે શું કરવાનું ? દાદાશ્રી : એ અમે કરી આપીએ. અમે જ્ઞાન આપીએ છીએ. તે જ દહાડે આત્મા જગાડીએ છીએ, તેથી મન આ બાજુ વળી જાય. (પા.૧૦૪)શંકાનું ઉદ્ભવસ્થાનવ્યવહારમાં જે શંકા થાય છે, તે મનનું કામ છે. એ મનના ગુણો છે. એમાં મન અને બુદ્ધિ બે ભેગી થાય એટલે જાતજાતના વંટોળે ચઢે. જેમ પવન વંટોળે ચઢે છે ને ચક્રાવો લે છે ને તેવું આ ‘સાયક્લોન’ (વંટોળ) મહીં ચડે. પ્રશ્નકર્તા : એમાં બુદ્ધિનું શું હોય ? દાદાશ્રી : હા, બુદ્ધિ ખરી ને. મન હા પાડે ત્યારે બુદ્ધિ કહેશે, ‘ના, આમ છે.’ એટલે પાછી શંકા પડે. એટલે મહીં ‘પાર્લામેન્ટ’ છે. આત્મામાં કોઈ નિઃશંક થયેલો નહીં. આત્મામાં નિઃશંક થાય તો લક્ષ બેસી જાય. પ્રશ્નકર્તા : મોક્ષ થવા માટે સંપૂર્ણ નિઃશંક થવાની જરૂર છે ? દાદાશ્રી : આત્મામાં નિઃશંક થવું પડે, પણ આત્મા શું હશે ? આ લોકોનો માનેલો આત્મા બુદ્ધિમાં સમાય એવો નથી. લોકોની પાસે બુદ્ધિ છે અને બુદ્ધિમાં સમાઈ રહે એવો આત્મા નથી; પણ એ અમાપ છે. જ્યાં ‘મેઝર’ (માપ) નથી, તોલમાપ નથી એવો આત્મા જ્ઞાનથી જણાય એવો છે. તેય જ્ઞાનીના જ્ઞાનથી આત્મા લક્ષમાં બેસે, નહિ તો લક્ષમાં બેસે નહિ. પ્રશ્નકર્તા : ‘કોન્સિયસ માઈન્ડ’ કોને કહેવાય ? એ મન છે ? દાદાશ્રી : એ મનને નથી કહેતા. એ પાછું ચિત્તને કહે છે. ખરું મન જે છે તે તો આત્માના સાંનિધ્યને લીધે ઉત્પન્ન થાય, જેને આપણા લોકો ભાવ કહે છે. પ્રશ્નકર્તા : આત્માની સાથે એનો સંબંધ કેવી રીતે ? દાદાશ્રી : ખાલી ‘ટચ’નો જ સંબંધ છે. સામીપ્ય ભાવથી ચાર્જ થયા કરે. જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ એવા ભાવ છે, આનો ફાધર છું, એ બધા ભાવો હોય ત્યાં સુધી ‘ટચ’ થયા કરે ને ‘ચાર્જ’ થયા કરે. (પા.૧૦૫)પ્રશ્નકર્તા : એને સ્થૂળ મન કહેવાય ? દાદાશ્રી : ના, સ્થૂળ તો આ જે વિચારો કરે છે તે છે. એ ‘ફિઝિકલ’ છે. પ્રશ્નકર્તા : સ્થૂળ અને સૂક્ષ્મમાં ભેદ શો ? દાદાશ્રી : સ્થૂળ મનની તો દરેકને સમજણ પડે. વિચારે ચઢે એ સ્થૂળ મન છે અને સૂક્ષ્મ મનની તો ખબર જ ના પડે. એક ‘જ્ઞાની પુરુષ’ને સમજણ પડે. લોકો ‘ભાવમન, ભાવમન’ એમ કહ્યા કરે, પણ ‘એ શું છે’ એ ‘એક્ઝેક્ટલી’ પકડાય નહિ. પ્રશ્નકર્તા : એ ક્યારે પકડાય ? દાદાશ્રી : એ તો જ્ઞાન હોય તો જ પકડી શકે. ‘જ્ઞાની’ થતાં પહેલાં અમુક ટાઈમ સુધી ભાવમનને પકડી શકે. જે અહંકાર ઓગાળે છે, એને પકડાય ! પોતે ‘શુદ્ધાત્મા’ થયો એટલે ‘ચાર્જ’ થતું બંધ થયું. પછી સ્થૂળ મન ડિસ્ચાર્જ થયા જ કરે, એ જ એનો ધંધો ! પ્રશ્નકર્તા : એને ‘ઇફેક્ટ’ આવે ? દાદાશ્રી : મનનો સ્વભાવ જ ‘ઇફેક્ટિવ’ છે ને ? આપણે સમજી જવું કે મારું સ્વરૂપ ન હોય. એટલે ‘ઇફેક્ટ’ આપણને અડે નહિ. પરમ દહાડે આપણો દીકરો કાર લઈને ફરતો આપણે જોયેલો હોય ને આજે કોઈ કહે કે એ કાર અથડાઈને લોચો થઈ ગયેલી છે તો તમે તે દેખો ને અસર થઈ જાય. પણ પાછું કોઈ કહે કે ના, આ તો ગઈ કાલે જ વેચાઈ ગઈ છે. એટલે પાછી તરત જ અસર મટી જાય. બધી વસ્તુઓ ‘ઇફેક્ટિવ’ છે. પણ જ્ઞાન હોય તો ‘ઇફેક્ટ’ ના થાય. તેથી અમે કહેલું છે કે મન ‘ઇફેક્ટિવ’ છે, વાણી ‘ઇફેક્ટિવ’ છે ને દેહ પણ ‘ઈફેક્ટિવ’ છે. દ્રવ્યમન એ સ્થૂળ મન છે અને ભાવમન એ સૂક્ષ્મ મન છે. ભાવમન ફરે તો છૂટે. સ્થૂળ મન વખતે ના ફર્યું તો વાંધો નહીં. ભાવ પ્રમાણે (પા.૧૦૬)દંડ આપવામાં આવે છે. દ્રવ્યમાં હિંસાનો વિચાર હોય પણ ભાવમાં જુદું હોય. એટલે ભાવ પ્રમાણે દંડ આપવામાં આવે છે. દ્રવ્યના દોષનો દંડ અહીંનો અહીં મળી જાય છે, ને ભાવના દોષનો દંડ પરલોકમાં મળે છે. અત્યારે જગતમાં જે ધર્મો ચાલે છે તેની શી ‘થિયરી’ છે કે ભાવ ફેરવવા નહીં પણ દ્રવ્ય ફેરવવા જાય. લોકોને શું થાય કે દ્રવ્યનાં પ્રમાણે જ ભાવ ફર્યા કરે. ખોટું કરે તો ય ખોટાની પાછળ ભાવ નક્કી કરે કે આમ તો કરવું જ જોઈએ. એટલે આપણી શી શોધખોળ છે કે દ્રવ્યમનને જે લોકો ફેરવવા જાય એ તો ક્યારેય ફરતું જ નથી. એટલે આપણે સ્થૂળમનને બાજુએ મૂક્યું, સ્થૂળ ક્રિયાઓને બાજુએ મૂકી, દેહની તમામ ક્રિયાઓને બાજુએ મૂકી. અમે ‘સ્વરૂપનું જ્ઞાન’ આપીએ પછી બધો ફેરફાર થાય, નહીં તો દ્રવ્યમનના ધક્કાથી જ માણસ ચાલ્યા કરે. ભાવમનની કોઈનેય ખબર ના પડે. ભાવમન છે એવી ખબર પડે પણ એ કઈ રીતનાં કામ કરે છે એની ખબર ના પડે. પ્રશ્નકર્તા : એ ‘અન્કોન્સિયસ’ થયું ને ? દાદાશ્રી : હા, એ અહંકારના ઓઠા નીચે, અંધારા નીચે બધું કામ કરી નાખે. અહંકારનું અંધારું ના હોય તો દેખાય. આ બહુ ઝીણી વસ્તુ છે. બુદ્ધિ માર્ગ-અબુધ માર્ગજો સંસારમાર્ગમાં ‘ડેવલપ’ થવું હોય તો બુદ્ધિ માર્ગમાં જાઓ ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધ માર્ગમાં જાઓ. અમે અબુધ છીએ. અમારામાં જરાય બુદ્ધિ નથી. બુદ્ધિ ‘સેન્સિટિવ’ રાખે. બુદ્ધિના બે પ્રકાર : એક સમ્યક્ બુદ્ધિ ને બીજી વિપરીત. અહીં સત્સંગ થાય એટલે તમારી જે વિપરીત બુદ્ધિ હોય તે જ ‘ટર્ન લઈને સમ્યક્ થાય અને એ સમ્યક્ બુદ્ધિ મોક્ષે લઈ જાય. પ્રશ્નકર્તા : અબુધ થયા પછી ‘કેવળજ્ઞાન’ થાય ને ? (પા.૧૦૭)દાદાશ્રી : ‘કેવળજ્ઞાન’ અબુધ થયા વગર ઉત્પન્ન થાય જ નહીં. હંમેશાં બુદ્ધિ હોય ત્યાં વ્યવહારિક અહંકાર હોય, જ્ઞાની હોય તો પણ અને બુદ્ધિ ના હોય ત્યારે વ્યવહારિક અહંકાર પણ ના હોય. પ્રશ્નકર્તા : તો પછી બુદ્ધિ હોય તે સારું કે ના હોય તે સારું ? દાદાશ્રી : મોક્ષે જવું હોય તો બુદ્ધિ કામની જ નહીં. બુદ્ધિ તો સંસારમાં રઝળપાટ કરાવનારી છે. જ્યાં જાય ત્યાં નફો-તોટો દેખાડે. ગાડીમાં બેસવામાંય બુદ્ધિ વપરાય કે અહીં બેસું તો નફો છે ને ત્યાં ખોટ છે ! બુદ્ધિની ભૂખ એવી છે કે કોઈ દહાડોય મટે નહીં. એ તો અંતવાળું જોઈએ. જગત આખું બુદ્ધિજ્ઞાનમાં છે. પ્રશ્નકર્તા : બુદ્ધિની આગળ જવું જોઈએ ? દાદાશ્રી : બુદ્ધિની આગળ ગયા વગર છૂટકો જ નથી. ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં. જ્ઞાનીની આજ્ઞા - પ્રત્યક્ષ મોક્ષ વર્તનાપ્રશ્નકર્તા : એવું કેમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ વીતરાગ સમાયેલો છે ? દાદાશ્રી : એ આજ્ઞા સિવાય બીજો રસ્તો જ નથી ને ? જ્ઞાનીની આજ્ઞા જે પાળતો નથી તે મોક્ષે જવાને લાયક નથી. જ્યારે લાયક થશે ત્યારે એ આજ્ઞા પાળી શકશે. નહીં તો સ્વચ્છંદ ઊભા થાય. તેથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : ‘‘રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.’’ જાતે રોકવા જશે તો બમણો થશે અને ‘જ્ઞાની પુરુષ’ની પાસે એમની આજ્ઞાનું આરાધન કરવું એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. (પા.૧૦૮)જ્ઞાની, બાળક જેવા !આ નાનો છોકરો રડે છે તે બુદ્ધિપૂર્વકનું નથી રડતો અને ૨૦-૨૫ વર્ષની ઉંમરનો માણસ રડે તે બુદ્ધિપૂર્વકનું રડે અને ‘જ્ઞાની પુરુષ’ રડે તે બુદ્ધિપૂર્વકનું ના રડે. બાળક ને જ્ઞાની બેઉ સરખા હોય. બેઉ અબુધભાવે હોય. બાળકને ઊગતો સૂર્ય ને જ્ઞાનીને આથમતો સૂર્ય. બાળકને અહંકાર છે પણ તેમને જાગૃતિ નથી અને અમે અહંકારશૂન્ય હોઈએ. જ્યાં બુદ્ધિ વાપરે છે ત્યાં જ પાપ બંધાય છે. પ્રશ્નકર્તા : દાદા, અમે ચોવીસેય કલાક તમારું નામ દઈને બોલ્યા કરીએ તો પાપ બંધાય નહીં ને ? દાદાશ્રી : દાદાનું નામ દેવું તે પોતાના જ ‘શુદ્ધાત્મા’નું નામ દીધા બરાબર છે. આ પદો ગાય તે પોતાના જ શુદ્ધાત્માનું કીર્તન ગાય, એના જેવું છે. અહીં બધું જ પોતાનું છે. આ આરતી પણ પોતે પોતાની જ છે, અમારું કશું નહીં. જેને જેટલું કરતાં આવડ્યું એટલું ફાવશે. ઓપન માઇન્ડ‘માઇન્ડ ઓપન’ ના રહે, ગૂંચવાયેલું રહે ને ગૂંચવાયેલું રહે એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય. પ્રશ્નકર્તા : ‘ઓપન માઇન્ડ’ એટલે શું કહેવા માંગો છો ? દાદાશ્રી : આ ગોળની પાછળ માખી ફરફર કર્યા કરે, એના જેવું મન એવી એક જગ્યાએ કશી ચીજની પાછળ ભમ્યા કરતું હોય એ ‘ઓપન માઇન્ડ’ ના કહેવાય. ‘ઓપન માઇન્ડ’ જે વખતે જે હોય તેમાં એકતાલ હોય. હસવાની વખતે હસે, વાત કરવાની વખતે વાત કરે, ગાવાની વખતે ગાય, બધામાં ‘ઓપન માઇન્ડ’ હોય. યોગસાધનાથી પરમાત્મદર્શનપ્રશ્નકર્તા : યોગસાધનાથી પરમાત્મદર્શન થાય ? (પા.૧૦૯)દાદાશ્રી : યોગસાધનાથી શું ના થાય ? પણ શેનો યોગ ? પ્રશ્નકર્તા : આ સહજ રાજયોગ કહે છે તે યોગ. દાદાશ્રી : હા, પણ શેને રાજયોગ કહો છો ? પ્રશ્નકર્તા : મનની એકાગ્રતા થાય. દાદાશ્રી : તેમાં આત્માને શો ફાયદો ? તમારે મોક્ષ જોઈએ છે કે મનને મજબૂત કરવું છે ? પ્રશ્નકર્તા : ખાલી પરમાત્માનાં દર્શનની વાત કરું છું. દાદાશ્રી : તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો ? એકાગ્રતા કરવાનો વાંધો નથી, પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : એકાગ્રતાથી શૂન્યતા આવે ખરી ? દાદાશ્રી : આવે ખરી, પણ તે શૂન્યતા ‘રિલેટિવ’ છે. ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. પ્રશ્નકર્તા : તે વખતે આ મન અને બુદ્ધિ શું કરે ? દાદાશ્રી : થોડી વાર સ્થિર થાય પછી તેનું તે જ. એમાં ‘આપણું’ કશું નહીં. આપણું ધ્યેય પૂરું થાય નહીં અને યોગ ‘અૅબવ નોર્મલ’ થઈ ગયો તો એ મહાન રોગિષ્ઠ છે. મારી પાસે યોગવાળા ઘણા આવે છે. તે અહીં દર્શન કરવા અંગૂઠે અડે તે પહેલાં તો એનું આખું શરીર ધ્રૂજે, કારણ કે ‘ઇગોઇઝમ’ ઊભરાય. જ્યાં જ્યાં કરો તેનો કર્તાપણાનો અહંકાર વધશે તેમ પરમાત્મા છેટા જશે. સાક્ષીભાવપ્રશ્નકર્તા : સાક્ષીભાવ એટલે અંત આવી ગયો ને ? દાદાશ્રી : બધી બાબતમાં સાક્ષીભાવ રહેવો જોઈએ. ‘ચંદુભાઈ (પા.૧૧૦)નાલાયક છે’ એમ કહેતાંની સાથે જ સાક્ષીભાવ રહે નહિ. ગજવું કપાય તોય સાક્ષીભાવ રહે નહિ, કારણ કે અહંકારથી સાક્ષીભાવ રહે છે. સાક્ષીભાવનો અર્થ શો છે ? ખરી રીતે સાક્ષીભાવ એ એક વીતરાગ થવાનું સ્ટેપ છે, સાચું સ્ટેપ છે. સાક્ષીભાવ અને દ્રષ્ટાભાવમાં ઘણો ફેર છે. જ્યાં આત્માના ગુણ નથી, ત્યાં આત્મા નથી. આ સોનું છે તે તેના ગુણમાં હોય ત્યાં સુધી ત્યાં પોતે હોય. બીજાના ગુણમાં પોતે ના હોય. આ સંસારમાં જે દેખાય છે તે બીજાના ગુણ છે બધા. ત્યાં પોતે હોય નહીં. પોતે જ્ઞાતા-દ્રષ્ટા હોય, પણ ભળેલો ના હોય. આત્મા ભેળસેળિયો નથી. નિર્ભેળ છે. ક્રમિક માર્ગમાં બધા જાગૃતિ લાવવાના રસ્તાઓ છે. એમાં જાગૃતિ વધતી જાય. જેટલાથી વીતરાગ થયો એટલી જાગૃતિ એને રહે ને જેટલામાં રાગ-દ્વેષ છે ત્યાં જાગૃતિ ના હોય એને. વ્યાખ્યાનમાં રાગ-દ્વેષ છે. લોકોની વાતચીતોમાં રાગ-દ્વેષ છે. ભલું કરવામાં રાગ-દ્વેષ છે. શુભ કરવામાં રાગ-દ્વેષ છે. એમાં એમને જાગૃતિ ના હોય. રાગ-દ્વેષને લીધે જાગૃતિ અટકે છે. જેને તપ ઉપર રાગ પડી ગયો હોય, પછી એને બીજું કશું સૂઝે નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો ...સ્વચ્છંદ છોડે તો મોક્ષ પામે. ગુરુ પણ સ્વચ્છંદી ના જોઈએ. ગુરુ સ્વચ્છંદી તો પછી શિષ્યય સ્વચ્છંદી. પ્રશ્નકર્તા : ગુરુ સ્વચ્છંદી કેવી રીતે ના હોય ? દાદાશ્રી : સ્વચ્છંદી જ હોય ને. ગુરુના ગુરુ સ્વચ્છંદી એટલે સ્વચ્છંદીનું જ તોફાન. ગૃહસ્થીઓય સ્વચ્છંદી ને ત્યાગીઓ પણ સ્વચ્છંદી. સ્વચ્છંદી માણસને કેફ ચઢે. ‘સ્વચ્છંદ કોને કહેવાય’ એટલું સમજે તોય બહુ થઈ ગયું. અમારી આજ્ઞામાં રહે તે સ્વચ્છંદની બહાર નીકળી ગયો. પછી (પા.૧૧૧)સંસારમાં તમારો ગમે તે સ્વચ્છંદ હોય, પણ તે સ્વચ્છંદ ગણાતો નથી. આત્માની બાબતમાં સ્વચ્છંદ, એને સ્વચ્છંદ કહેવાય છે. સંસારમાં તો કો’કને બે વાગે ચા પીવાની ટેવ હોય તેનો અમને વાંધો નથી. રાત્રે બાર વાગે નાસ્તો કરવાની ટેવ હોય તેનોય અમને વાંધો નથી. એ આત્માનો માર્ગ નથી. એ તો વ્યવહાર છે, સંસાર છે. સહુ સહુને પોસાતી વાત છે. સદ્ગુરુ કોને કહેવાય ? આ બધા ગુરુઓ તો છે, પણ સદ્ગુરુ કોને કહેવાય ? પ્રભુશ્રીને સદ્ગુરુ કહેવાય. જેનામાં સ્વચ્છંદનો એક અંશ પણ ન હતો. એમનું બધું જ કૃપાળુદેવને આધીન હતું; કૃપાળુદેવ હાજર હોય કે ના હોય છતાંય તેમને જ આધીન. એ સાચા પુરુષ હતા. સ્વચ્છંદથી અંતરાય પડે. જે ધર્મની બાબતમાં કંઈ જાણતો ના હોય તેને અંતરાય ઓછા પડે અને ધર્મમાં સ્વચ્છંદ કર્યો કે અંતરાય વધારે પડે. જ્ઞાન, દર્શન ને વર્તનપ્રશ્નકર્તા : સમજવાનું કે વર્તનમાં આણવું જોઈએ ? દાદાશ્રી : વર્તનમાં મૂકવાનું છે જ નહીં, વર્તનમાં આવવું જોઈએ. સમજ્યાનું ફળ શું ? તો કહે, ‘વર્તનમાં આવે જ !’ સમજણ હોય છતાંય વર્તનમાં ના આવે ત્યાં સુધી એને દર્શન કહેવાય અને વર્તનમાં આવે એને જ્ઞાન કહ્યું. પ્રશ્નકર્તા : સમજ, જ્ઞાન અને વર્તન સમજ્યા હોય પણ વર્તનમાં ન આવે. દાદાશ્રી : હા, એ જ્ઞાન વગર વર્તનમાં ના આવે. સમજ એટલે ‘અનડીસાઈડેડ’ વાત. મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને પોતાને જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે. ઠોકી બેસાડવાથી તો કશું કામ (પા.૧૧૨)જ ના થાય. તમને એ સમજ બેસી જાય પછી તમે એ સમજથી ચાલો. જ્ઞાનમાં કશું કરવાની જરૂર નથી. સમજવાની જરૂર છે. જ્ઞાનમાં અને સમજમાં કંઈ ફેર હશે ખરો ? તમે મારી પાસે વાતને સમજો. એ સમજ ધીમે ધીમે જ્ઞાન રૂપે પરિણામ પામે. જ્ઞાન જાણીએ ખરાં, પણ વર્તનમાં ના આવે તે સમજ. જ્ઞાનની માતા કોણ છે ? સમજ છે. માતા વગર પુત્ર થાય નહીં ને ? કે કોઈ પુત્ર ઉપરથી પડેલો ? એટલે માતા તો જોઈએ ને ? જ્ઞાનની માતા સમજ છે. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય ? એ જ્ઞાની પાસેથી સમજો. શાસ્ત્રો પાસેથી સમજો. શાસ્ત્ર પાસેથી પૂરી સમજ ના થાય; પણ અમુક સમજ થાય. અમે આ જ્ઞાન આપીએ છીએ એ ‘કેવળદર્શન’ છે. એટલે એમાં બધી જ સમજ આવી ગઈ. હવે સમજમાંથી વર્તન ઊભું થાય પણ સમજ જ ના હોય તો ? વર્તન ક્યારેય ના આવે. પૂર્ણ સમજ એ કેવળદર્શન કહેવાય અને વર્તનમાં આવે એ કેવળજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાન એ પૂર્ણાહુતિ છે ને કેવળદર્શન એ કેવળજ્ઞાનની ‘બીગિનિંગ’ (શરૂઆત) છે. સમજ કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે. આખો દહાડો ઠોકરો ખાયા કરતો હોય અને હું સમજું છું, જાણું છું કરે. તે અલ્યા, શેને સમજ કહે છે ? સમજ અને જ્ઞાનમાં ફેર શો ? જે સમજ વર્તનમાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાનને સમજ કહેવાય છે. એ સમજ ધીમે ધીમે ‘ઑટોમેટિકલી’ જ્ઞાનરૂપે પરિણામ પામે. વર્તનમાં આવે ત્યારે જાણવું કે આ જ્ઞાન છે, એટલે ત્યાં સુધી સમજ સમજ કરો. શાસ્ત્રોમાં જાણવા ગયો એ જ્ઞાન ક્રિયાકારી નથી અને આ સમજ ક્રિયાકારી છે. તમારે કંઈ કરવું ના પડે. અંદરથી જ્ઞાન જ કર્યા કરે. ક્રિયાકારી જ્ઞાન એ ચેતનવંતું જ્ઞાન છે, એ જ વિજ્ઞાન છે, એ જ પરમાત્મ-જ્ઞાન કહેવાય છે. આ શુષ્કજ્ઞાનને વાંઝિયું જ્ઞાન કહેવાય છે. પપૈયા આવે નહીં, ને મહેનત સરખી ! આખું મનુષ્યપણું નકામું જાય છે, માટે કંઈક સમજવું તો પડશે જ ને ? અહીં ખાલી સમજવાનું જ છે, કરવાનું કંઈ (પા.૧૧૩)નથી. જ્યાં કરવાનું છે ત્યાં મોક્ષનો માર્ગ નથી. જ્યાં સમજવાનું છે તે જ મોક્ષનો માર્ગ છે. જે સમજ જ્ઞાનમાં પરિણામ પામી તે દહાડે તે વસ્તુ તમારી પાસે નહીં હોય. તમારે કશું કરવાનું નથી. ગ્રહણ-ત્યાગના આપણે અધિકારી જ નથી, કારણ કે આ મોક્ષમાર્ગ છે. ગ્રહણ-ત્યાગના અધિકારી, શુભાશુભ માર્ગમાં હોય, ભ્રાંતિમાર્ગમાં હોય, આ તો ‘ક્લીઅર’ મોક્ષમાર્ગ છે. વર્તનમાં આવે ત્યારે એ જ સમજ જ્ઞાનરૂપે પરિણામ પામે છે. દાદાએ જે સમજ પાડી હોય તે અનુભવ કરાવ્યા કરે. એમ કરતાં કરતાં અનુભવજ્ઞાન થતું થતું જ્ઞાનરૂપે એ પરિણામ પામે, તે દહાડે ‘એ’ નહીં રહે. મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે અને સુગમ છે. સમભાવી માર્ગ છે, કશી મહેનત વગર ચાલે એવું છે. માટે કામ કાઢી લો. અનંત અવતારેય ફરી આ જોગ ખાય એવો નથી. જ્ઞાન અપાય એવી ચીજ નથી. જ્ઞાન તો સમજ આપીએ તેમાંથી ઉત્પન્ન થાય. જ્ઞાન ઉત્પન્ન થયું એ ક્યારે સમજ પડે ? ‘આ ખોટું છે’ એ જ્ઞાન ક્યારે કહેવાય ? એની મેળે એ છૂટી જાય ત્યારે. છૂટી જવું ને જ્ઞાન બેઉ સાથે બને છે. ત્યાં સુધી સમજમાં તો છે કે આ ન હોવું ઘટે; ન હોવું ઘટે એટલે આપણું આ ‘કેવળદર્શન’ એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળજ્ઞાનમાં આવે છે. પ્રશ્નકર્તા : સમજ્યા પછી જ્ઞાનમાં આવતાં કેટલી વાર લાગે ? દાદાશ્રી : જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં ‘ડેવલપમેન્ટ’ થતું જાય. એ ક્યારે થશે એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું, એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે. તમારે કશું કરવાનું નહીં. ઊંઘમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાંય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે. (પા.૧૧૪)‘દિલ્હી શી રીતે પહોંચાશે’ એ વાતને સમજ એટલે દિલ્હી પહોંચાશે. સમજ એ બીજરૂપે છે અને જ્ઞાન એ વૃક્ષરૂપે છે. તમારે પાણીનો છંટકારો અને ભાવનાઓ જોઈએ. પ્રશ્નકર્તા : વર્તનમાં આવી ગયું, એનું નામ ચારિત્ર કહેવાય ? દાદાશ્રી : ચારિત્ર કહેવાય, પણ તે સમ્યક્ચારિત્ર કહેવાય; કેવળચારિત્ર તો કેવળજ્ઞાની જ કરી શકે અને ‘જ્ઞાની પુરુષ’ કરી શકે. પ્રશ્નકર્તા : કેવળચારિત્ર અને સમ્યક્ચારિત્રમાં ફેર શો ? દાદાશ્રી : સમ્યક્ચારિત્ર જગતના લોક જોઈ શકે અને કેવળચારિત્ર કોઈને દેખાય નહીં. એ ઇન્દ્રિયગમ્ય નથી હોતું. કેવળચારિત્ર એ જ્ઞાનગમ્ય છે. પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને દર્શનમાં શો ફેર ? દાદાશ્રી : શ્રદ્ધા કરતાં દર્શન ઊંચી વસ્તુ છે. શ્રદ્ધા તો અશ્રદ્ધા પણ થઈ જાય. શ્રદ્ધા કોઈના પર બેઠી હોય તો એ શ્રદ્ધા ફરી જાય અને દર્શન ફરે નહીં. દર્શનને ફેરવનાર જોઈએ. મિથ્યાદર્શન જો કોઈનું ફરે છે ? બાપજી પર છ મહિના શ્રદ્ધા રાખે તો એ ઊડી જાય. ખરેખર, એ શ્રદ્ધા ના કહેવાય; વિશ્વાસ કહેવાય. પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને વિશ્વાસમાં શો ફેર ? દાદાશ્રી : શ્રદ્ધા એ દર્શનથી નીચું પદ છે, પણ સ્થિર છે, ડગે નહીં એવું છે. પણ લોકો તેને નીચલી ભાષામાં લઈ જાય છે. મહારાજ સાહેબ કહે કે મારા ઉપર છ મહિના શ્રદ્ધા રાખજો. પણ સાહેબ, મને શ્રદ્ધા તમારા ઉપર આવતી નથી તે કેમની રાખું ? હું ટિકિટ ચોંટાડવા જાઉં છું ને ચોંટતી જ નથી. તમે એવું કંઈક બોલો કે મને તમારા પર શ્રદ્ધા આવે. હું શું કહું છું કે શ્રદ્ધા રાખવાની વસ્તુ નથી. શ્રદ્ધા આવવી જ જોઈએ. મહીં જે સૂઝ પડે છે એ દર્શન છે. કોઈને સૂઝ વધારે પડતી (પા.૧૧૫)હોય ને કોઈને ના પણ પડતી જાય ! સૂઝ એ કુદરતી બક્ષિસ છે. એ અહંકારી વસ્તુ નથી. ‘નેચરલ ગિફ્ટ’ છે. દરેકને પોતપોતાના ગજા પ્રમાણે સૂઝ હોય. નાનાં છોકરાંને પણ સૂઝ પડી જાય ! ધર્મની દુકાનોપ્રશ્નકર્તા : જાત જાતના બધા ધર્મો કહે છે કે અમારુ ખરું, અમારું ખરું, તો કોનું ખરું માનવું ? દાદાશ્રી : વીતરાગોનું. વીતરાગની વાત સમજવા જેવી છે, વીતરાગનું કહેલું માનજો. આ બધી દુકાનોમાં સાચી વાત નથી. સહુસહુની વાત છે. સહુસહુની દ્રષ્ટિએ સાચી છે. કોઈની ખોટી નથી. પ્રશ્નકર્તા : બધી વાતનો ખ્યાલ એ કે ‘હું’ જાય તો કંઈક થાય. દાદાશ્રી : જે દુકાનના માલિક ના હોય, જે દુકાન માલિક વગરની છે ત્યાં જઈને બેસવું. ‘હું’ જ્યાં ગયું હોય, જ્યાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં ત્યાં વાત સાંભળજો, તો મોક્ષ થશે; નહીં તો મોક્ષ થવાનો નથી. વ્યાખ્યાનમાં તો સાંભળનારોય જુદો ને બોલનારોય જુદો. એ વ્યાખ્યાન કહેવાય, આખ્યાન નહિ અને મોક્ષમાર્ગમાં આખ્યાનેય નથી, તો વ્યાખ્યાન ક્યાંથી આવે ? પ્રશ્નકર્તા : આખ્યાન અને વ્યાખ્યાનનો મર્મ શો છે ? દાદાશ્રી : બે-ચાર જણની જોડે વાતો કરે એ આખ્યાન કહેવાય અને આખા ટોળામાં બોલે તે વ્યાખ્યાન કહેવાય. ચેતો અનુકૂળમાંપ્રશ્નકર્તા : રાગ વગરનો પ્રેમ અનુભવમાં આવ્યો નથી, એટલે સામાન્ય કલ્પનાની બહારની વસ્તુ આવે છે. દાદાશ્રી : આ બીજાં બધાંની જોડેનો હિસાબ દ્વેષનો હોય છે. તેને ‘સમભાવે નિકાલ’ કરવો પડે છે. એ પ્રતિકૂળ કષાય કહેવાય અને આ (પા.૧૧૬)રાગનું એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય છે. અનુકૂળ મીઠું લાગે. અમને ‘સ્વરૂપ જ્ઞાન’ નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર મળશે. અનુકૂળથી જ આખું બધું રખડેલું. કો’કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે ! એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે. બંધ - નિર્જરાનિર્જરા થાય ત્યારે કોઈ વખત એકદમ કડવી, તો કોઈ ફેરો એકદમ મીઠી લાગે. તે બન્નેને આપણે કડવા-મીઠાથી છૂટા થઈને ‘પાડોશ’માં રહીને ‘જોયા’ કરવાનું. કડવું-મીઠું એ નિરંતરનો પૌદ્ગલિક સ્વભાવ છે. પ્રશ્નકર્તા : શરીરમાં નિર્જરા ભલે થતી. સાચવવા જેવું નથી. દાદાશ્રી : સાચવવાનું તો કશું હોય જ નહિ ને ? અને સાચવ્યું કશું સચવાય નહિ ને ? સાચવવાનું પોતાનું સ્વરૂપ ! જેવા ભાવે બંધ થયેલો હોય તેવા ભાવે નિર્જરા થાય. એ એનો સ્વભાવ જ છે. બંધ ‘આપણી’ હાજરીમાં થયેલો હતો. પણ આ નિર્જરા ગેરહાજરીમાંય થઈ શકે. આપણને સંવર હોય તોય નિર્જરા થઈ શકે. અને બંધ ‘આપણી’ ગેરહાજરીમાં ના પડે. એટલે જે ભાવે બંધ પડ્યા તે આપણી હાજરીમાં પડેલો. હવે નિર્જરા છે તે એ ભાવે થાય તે આપણે જોયા કરવાનું કે ઓહોહો ! આવો બંધ પડ્યો હોય એવું લાગે છે. પ્રશ્નકર્તા : જે ભાવે બંધ પડે છે એ ભાવથી બંધ છૂટી શકે ખરા ? દાદાશ્રી : એ ભાવથી નહિ. ભાવથી બંધ છૂટતો નથી. એ જ ભાવવાળાં પરિણામ ઉત્પન્ન થાય છે. ક્રૂર ભાવનો બંધ પડેલો હોય તે (પા.૧૧૭)પરિણામ થતી વખતે બધાં ક્રૂર દેખાય. પણ તે આજે આપણાં નથી. આ તો નિર્જરા થાય છે. એને જોયા કરવાનું કે શી નિર્જરા થાય છે ! એના પરથી શું બંધ પડેલો, કયા ભાવે બંધ પડેલો હતો, આ નિર્જરાનું ‘રૂટ કોઝ’ શું હતું, તેની ખબર પડે. દેવલોકોનું વિચરણપ્રશ્નકર્તા : સાત ક્ષેત્ર, એમાં દેવો વિચરે ખરા ? દાદાશ્રી : દેવો તો મનુષ્યો જ્યાં હોય ત્યાં જઈ શકે. ખાસ કરીને તીર્થંકરો હોય ત્યાં દેવલોકો વધારે જાય. આપણી ભૂમિકામાં ઓછા આવે. આપણી ભૂમિકા નરી ગંદવાડવાળી, દુર્ગંધવાળી હોય તેથી ત્યાં દેવલોકો પધારે નહીં. ‘જ્ઞાની’ હોય ત્યાં દેવલોકો આવે. આ વિધિઓ, પૂજા વગેરે ભણાવે તો ત્યાં પણ દેવલોકો જાય, પછી ભલે ત્યાં ‘જ્ઞાન’ ના પણ હોય ! ધર્મ : અધર્મ - એ એક કલ્પનાઆ ધર્મો તે કેવા છે ? અધર્મને ધક્કા મારવા, એનું નામ ધર્મ. ધર્મ એકલાને સંગ્રહી રાખવાનો ને અધર્મને ધક્કા મારવાના. કોઈને ધક્કા મારીએ તે કંઈ સારું કહેવાય ? પ્રશ્નકર્તા : અધર્મને ધર્મમાં બદલી લેવો જોઈએ. દાદાશ્રી : આ ધર્મ અને અધર્મ એ બેઉ કલ્પિત જ છે ને ? આપણે કલ્પનાથી બહાર નીકળવું છે કે કલ્પિતમાં રખડવું છે ? કલ્પિત તો અનંત અવતારથી ભટક ભટક કરાવે. ધર્મ એટલે કોઈને સારું કરવું, જીવમાત્રને સુખ આપવું. પણ સુખ આપનાર કોણ ? ત્યારે કહે, ‘ઇગોઇઝમ’. ધર્મનું ફળ ભૌતિક સુખશાંતિ મળે અને અધર્મનું ફળ ભૌતિક અશાંતિ રહે. પણ આવા ધર્મ કરતાં પણ જાનવરમાં જવું પડે. જાનવરમાં શી રીતે જાય ? અણહક્કનું ભેળું કરવાના વિચારો આવે તે પાશવતાની નિશાની. એનાથી પશુયોનિ બંધાય. હક્કનું ભોગવો; હક્કની સ્ત્રી, હક્કનાં છોકરાં, હક્કના બંગલા ભોગવો, એ મનુષ્યપણું કહેવાય અને પોતાના (પા.૧૧૮)હક્કનું બીજાને આપી દે, એ દેવપણું કહેવાય. મુક્તિનું સાધન - શાસ્ત્ર કે જ્ઞાની ?જે જ્ઞાન હિતકારી ન થઈ પડે તે ક્યાં સુધી સાંભળવાનું ? ‘જ્ઞાની પુરુષ’ ના મળે ત્યાં સુધી. જ્યાં સુધી ઈંદોરી ઘઉં ના મળે ત્યાં સુધી રેશનના ઘઉં મળે તે ખાવા જ પડે ને ? પણ જો ‘જ્ઞાની પુરુષ’નો સંજોગ બાઝે તો તો પછી તમે માંગતાં ભૂલો; અધ્યાત્મમાં જે માગો તે મળે, કારણ કે ‘જ્ઞાની પુરુષ’ એ મોક્ષદાતા પુરુષ છે. મોક્ષનું દાન આપવા આવેલા છે. પોતે મુક્ત થયેલા છે. તરણતારણ થયેલા છે. પોતે તર્યા ને અનેકોને તારવાને સમર્થ છે. ત્યાં બધી જ ચીજ મળે. મને તમે ભેગા થયા એટલે વાત કરું હું તમને. સર્વ જંજાળોમાંથી મુક્ત થવાનું આ સાધન છે. પ્રશ્નકર્તા : ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવા માટે જ લખાયાં છે ને ? દાદાશ્રી : હા, પણ ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવાનું કોઈ જગ્યાએ બતાવતાં જ નથી. એ તો ધર્મ કરવા માટે છે. એનાથી જગત ઉપર અધર્મ ચઢી ના બેસે. એટલે કંઈક સારું એવું શિખવાડે. એનાથી સાંસારિક સુખ મળે, અડચણો ના પડે, ખાવા-પીવાનું મળે, લક્ષ્મી મળે એટલે ધર્મ શિખવાડ શિખવાડ કરે છે. આ તો કો’ક વખત ‘જ્ઞાની પુરુષ’ હોય. હું જે વાત કરું છું તે વાત ક્યાંય પણ હોય નહીં. પુસ્તકમાંય ના હોય, કારણ કે આનું વર્ણન થઈ શકે તેમ નથી. એ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસે જ હોય. એ તમને સમજાવે તે તમને બુદ્ધિ દ્વારા પકડી શકાય અને તમારો આત્મા કબૂલ કરે તો જ માનજો. ‘જ્ઞાની’ પાસે સીધા થવું પડશે. આડાઈ નામે ના ચાલે અને તમારી ચિંતા જાય, મતભેદ જાય તો જાણવું કે કંઈ સાંભળવાનું ફળ છે. આ તો નથી એકુંય મતભેદ ગયો, નથી ધ્યાન સુધર્યું. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે. એનો અર્થ ધર્મનો એકેય અક્ષર પામ્યો નથી. છતાં મનમાં એમ માની બેસે છે કે ચાલીસ વરસથી હું ધર્મ કરું છું, મંદિરોમાં, (પા.૧૧૯)ઉપાશ્રયોમાં પડી રહું છું, પણ એનો કશો અર્થ નથી, ‘મીનીંગલેસ’ છે. આ તમારો ટાઈમ બગાડો છો ! પોતે અનંત દોષનું ભાજન છે, છતાંય પોતાનો એક પણ દોષ દેખાતો નથી. પોતાના ‘સેલ્ફ’નું વલણ થયા પછી આ ‘ચંદુભાઈ’ પર તમારો પક્ષપાત ના રહે, ત્યારે દોષો દેખાય. અત્યારે તો હું ચંદુભાઈ એવું માનો છો તમે, અને જજેય તમે, વકીલેય તમે અને આરોપીય તમે ! બોલો હવે, એકેય દોષ દેખાય ? આનો ક્યારે પત્તો પડે ? આમ ક્યાં સુધી ભટક ભટક કરીએ ? હવે કાળ બધો વિચિત્ર આવવાનો છે. ‘જ્ઞાની પુરુષ’ મળ્યા એટલે ભાવના ભાવીને આપણે આપણું કામ કાઢી લેવાનું. ‘જ્ઞાની પુરુષ’ને વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે જે આપણે આપીએ તો એમને કામ લાગે, કારણ કે એમને કોઈ ચીજની ભીખ જ ના હોય. એમને લક્ષ્મીની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, નિરિચ્છક એવા ‘જ્ઞાની પુરુષ’, જેના દર્શન માત્રથી જ પાપ ધોવાઈ જાય ! એમની પાસે બેસવાથી અપાર શાંતિનો અનુભવ થાય. ક્યાં વીતરાગ માર્ગ ને ક્યાં...જેમ અજ્ઞાનતા વધે, મોહ વધે, તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શુંય માને કે કેટલી મારી પુણ્યૈ કે મને આ બંગલો મળ્યો, પંખા મળ્યા ! આ તો ઊલટો ફસાતો જાય છે. કાદવમાં ગરક્યા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ફસાતો જાય, એવી દશા થાય ! ક્યાં વીતરાગોનો મોક્ષમાર્ગ ને ક્યાં આ દશા ? સમ્યક્ આચારેય કોઈ જગ્યાએ રહ્યો નથી, લોકાચાર થઈ ગયો છે. સમ્યક્ આચાર તો જોઈને જ આપણે ખુશ થઈ જઈએ. પ્રશ્નકર્તા : લોકાચાર અને સમ્યક્ આચાર, એ બેમાં ફેર શો ? દાદાશ્રી : લોકાચાર એટલે લોકોનું જોઈને આચરણ કર્યા કરવું અને સમ્યક્ એટલે વિચારપૂર્વકનો આચાર, સંપૂર્ણપણે નહીં પણ જેટલા (પા.૧૨૦)જેટલા અંશે વિચારપૂર્વક કરતો હોય તેટલા અંશે સમ્યક્ આચાર ઉત્પન્ન થાય, પણ જે સમ્યક્ આચાર હોય તે તો સર્વાંશે જ હોય. ભગવાનનાં શાસ્ત્રોને મળતો આવે એવો હોય. એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તેય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં કાયમનું સુખ છે. પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બંને વિરોધાભાસી છે. આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે. આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો જ નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મુકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્યપ્રજા કહેવાઈએ. આર્યપ્રજામાં આવું શોભે નહીં. આર્યપ્રજામાં ત્રણ વસ્તુ હોય; આર્યઆચાર, આર્યવિચાર ને આર્યઉચ્ચાર. તે અત્યારે ત્રણેય અનાડી થઈ ગયા છે ! અને મનમાં શુંય માને કે સમકિત થઈ ગયું છે ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા, તું જે કરી રહ્યો છે તેનાથી તો લાખ અવતારેય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી. પુણ્યનો ભોમિયોપ્રશ્નકર્તા : જ્યાં સુધી મોક્ષના માર્ગે ના પહોંચીએ, ત્યાં સુધી પુણ્ય નામના ભોમિયાની તો જરૂર પડે ને ? દાદાશ્રી : હા, એ પુણ્યના ભોમિયા માટે તો લોક શુભાશુભમાં પડ્યા છે ને ? એ ભોમિયાથી બધું મળશે. પણ મોક્ષના માર્ગે જતાં એનું પુણ્ય બંધાય છે. પણ આવા પુણ્યની જરૂર નથી. મોક્ષે જનારાની પુણ્યૈ તો કેવી હોય ? એને જગતમાં સૂર્યનારાયણ ઊગ્યો કે નહીં, તેય ખબર ના પડે ને આખી જિંદગી જાય, એવાં પુણ્ય હોય ! તો પછી આવા કચરા પુણ્યને શું કરવાનું ? પ્રશ્નકર્તા : આ માર્ગ ના મળે ત્યાં સુધી તો એ પુણ્યૈની જરૂર છે ને ? (પા.૧૨૧)દાદાશ્રી : હા, એ બરાબર છે. પણ લોકોની પાસે પુણ્યૈ ક્યાં સાબૂત છે ? કશું જ ઠેકાણું નથી, કારણ કે તમારી શી ઇચ્છા છે ? ત્યારે કહે કે પુણ્ય કરું તો પાપનો ઉદય ના આવે. ત્યારે ભગવાન શું કહે છે ? તેં સો રૂપિયાનું પુણ્ય બાંધ્યું તે તારે ખાતે સો રૂપિયા જમા થયા. ત્યાર પછી બે રૂપિયા જેટલું પાપ કર્યું એટલે કે કોઈ માણસને ‘હટ હટ, આઘો ખસ’ એવું કહ્યું, તેમાં સહેજ તિરસ્કાર આવી ગયો. હવે આનું જમે-ઉધાર ના થાય. ભગવાન કંઈ કાચી માયા નથી. જો પુણ્ય-પાપનું જમે-ઉધાર થતું હોત તો તો આ વણિક કોમને ત્યાં સહેજે દુઃખ ના હોત ! પણ આ તો સુખેય ભોગવો ને દુઃખેય ભોગવો. કેવા પાકા ભગવાન ! બાદ તો કરે જ નહીં ! કષાય ત્યાં સંસારસ્વરૂપજ્ઞાન પછી કંઈ જ કરવાનું રહેતું નથી. તેથી અમે કહ્યું છે કે કશું કરશો નહીં. કરે છે બીજી શક્તિ ને આ અમથા માથે લઈને લોકો ફરે છે, તેને લીધે ઊલટા અવતાર વધે છે. જ્યાં કષાય છે ત્યાં નર્યાં પરિગ્રહનાં પોટલાં જ કહેવાય. પછી એ ગૃહસ્થી હોય કે ત્યાગી હોય કે હિમાલયમાં પડી રહ્યો હોય ! કષાયનો અભાવ ત્યાં પરિગ્રહનો અભાવ. પછી ભલે ને એ રાજમહેલમાં રહેતો હોય ! અમારી પાસે ક્યાં પરિગ્રહ છે ? લોકોને લાગે કે દાદા પરિગ્રહી છે. પરિગ્રહ એટલે માથે બોજો. અમને કોઈ દહાડોય બોજો લાગે નહિ. શરીરનોય બોજો અમને ના હોય ! છતાંય આ દાદા ખાય છે, પીએ છે, લગ્નમાં જાય છે, સ્મશાનમાં જાય છે !!! વીતરાગો એટલું જ જુએ છે કે કષાયનો અભાવ છે કે નહીં ? પછી એ ત્યાગીની ગાદી નથી જોતા કે ગૃહસ્થીની ગાદી નથી જોતા ! કષાયનો અભાવ છે કે કેમ એટલું જ જુએ છે. અગર તો કષાય મંદ વર્તે છે કે કેમ ? સાધુઓમાં કેટલાક, બે-પાંચ ટકા ભદ્રિકતાના સ્વભાવવાળા મંદકષાયી હોય છે. પ્રશ્નકર્તા : એ સમજણમાં મંદ કહેવાય ? (પા.૧૨૨)દાદાશ્રી : સમજણમાં નહીં, એમ ને એમ સ્વાભાવિક ભદ્રિક. તોય એમને ભગવાને કષાયરહિત ના કહ્યા. ‘હું છું’, ‘હું છું’ બોલે તો એ કષાય. કૃપાળુદેવનાં પુસ્તકો વાંચવાથી મંદકષાયી થઈ શકે એમ છે. પણ તે લોકોને સમજાયું નથી. મંદકષાયી કોને કહેવાય ? કષાય ઉત્પન્ન થાય તે પોતાને ખબર પડે પણ બીજા કોઈને ખબર પડવા ના દે. કષાયને વાળી લેવાય એવી દશા. કષાયો એ સંસારનું સ્વરૂપ છે અને અકષાયી મોક્ષ સ્વરૂપ છે. મૂળ કષાયો છે. જો કષાય ગયા તો કામ થયું, નહીં તો સાધુય નથી ને સંન્યાસીય નથી. એના કરતાં મંદકષાયવાળા ગૃહસ્થી સારા ! વૃદ્ધોની વ્યથાઆ ભાઈ સ્વભાવથી મંદકષાયી કહેવાય. પણ ‘જ્ઞાન’ વગર ચિત્ત શામાં રહે ? આખો દહાડો ધંધામાં, છોકરાંમાં, કોઈ આવ્યું હોય તેમાં, ખાવા-પીવામાં ચિત્ત પેસી જાય. ચિત્ત બધું આમાં ને આમાં વિખરાઈ જાય. આનાથી પુણ્ય મળે પણ હવે ક્યાં સુધી ડૂંડાં લણવાનાં ? બાજરી વાવો, લણો ને ખાઓ. વાવો, લણો ને ખાઓ. એવા ધંધા ક્યાં સુધી કરવાના ? પાછા વગર પૂછ્યે સલાહ હઉ આપે ! છોકરો બાપુજીને પૂછે નહીં તોય, ‘ઊભો રહે, ઊભો રહે, તું ભૂલ ખાઈશ’ કરીને સલાહ આપી આવે. ભગવાન કહે છે કે છોકરાં બહુ મુશ્કેલીમાં મૂકાય ત્યારે જવાબ આપજો. હા, એ પૂછ પૂછ કરે, ત્યારે આપણે વ્યવહારમાં જવાબ આપવો જ પડે. પૂછ્યા વગર પોતાના ઉપયોગવાળો કોણ ડહાપણ કરે ? તમે રૂપિયા ગણતા હો ને છોકરો તમને ધંધાની વાત પૂછવા આવે તો તમને એમ થાય કે આ વાત ઓછી કરે તો સારું. તેમ આત્મા માટે નિરંતર હોવું જોઈએ. છતાં વ્યવહાર છે તો પડ્યા વગર ચાલે નહીં. પણ મહીં જાણી જોઈને હાથ ના ઘાલવો. પ્રશ્નકર્તા : છોકરામાં અનુભવ ઓછો હોય અને કંઈક ભૂલ કરે (પા.૧૨૩)એવું દેખાતું હોય, તો કહેવાનું મન થાય ને ? દાદાશ્રી : આ વાત તો તમારા પિતાશ્રી હોત ને, તો તેય તમને કહેત કે ભઈ હજુ કાચો છે ! ને એમના પિતાશ્રી હોત તો તેય એવું જ કહેત ! આ હિન્દુસ્તાનનો રિવાજ છે. આને જ ‘ઓવરવાઈઝ’પણું ભગવાને કહ્યું. સાઠ વર્ષના પિતા હતા, તેય કહે કે હજુ છોકરું છે ને ! અલ્યા, શેનું છોકરું ? દાદો થયો ને હવે ! આ તમને જે જ્ઞાન છે ને તે આપણા ગુજરાતીઓમાં છેલ્લી ઘડીએ પડ્યા પછી પણ એવું હોય કે મારું શરીર જતું રહેશે પછી આ છોકરાંઓ શું કરશે ? આ બધી કટેવ છે એક જાતની. ‘વ્યવસ્થિત’ કરનાર છે. તમે દેખો ત્યાં સુધી એને ઝાલી રાખો ને ! અને તમારા દેખ્યાની બહાર જાય તો ? એટલે આપણને પૂછે એનો જ જવાબ. છોકરાંને અનુભવ હોય કે ના હોય એ આપણે નહીં જોવાનું. ધંધો કરતા હોય તો કો’ક ફેરો મન એવું પણ કહે કે ચાલો, આજે જરા ઘરાક વધારે છે તો છોકરાં છેતરાઈ જશે. માટે ચાલ, હું દુકાને જઈને બેસું ! આવી આપણે ક્યાં પીડા કરીએ ? આપણે છોકરાંને મોટાં કર્યાં, ભણાવ્યાં, પૈણાવ્યાં, પછી હવે શું લેવાદેવા ? આપણે આપણા આત્માનું કરવું. હવે ‘સબ સબકી સંભાલો’ એવો કાયદો છે. આ ઘરાક-વેપારીના સંબંધ છે. પહેલાં અજ્ઞાનતાને લીધે ઊંડા ઊતર્યા હતા. હવે જ્ઞાને કરીને આપણને સમજાવું જોઈએ. અક્રમ માર્ગે અકષાયાવસ્થાજેણે કષાયભાવને જીત્યા, તે અરિહંત કહેવાયો ! ‘હું શુદ્ધાત્મા છું’ ત્યાં કષાયભાવ રહેતા નથી. શુદ્ધ ઉપયોગ હોય ત્યાં આગળ કષાયભાવ રહેતા નથી. શુદ્ધાત્મા ત્યાં કષાય નહીં ને કષાય ત્યાં શુદ્ધાત્મા નહીં. ‘અક્રમ જ્ઞાન’માં કષાય થતા જ નથી. ક્રમિક માર્ગમાં એવું છે કે અશાતાવેદનીય થાય તો કર્મ બંધાયા વગર રહે જ નહીં. જ્યારે ‘અક્રમ’માં એમાં કર્મ બંધાય નહીં ને એટલો વખત વેદના ભોગવ્યે જ છૂટકો. પ્રશ્નકર્તા : આ ‘અક્રમ જ્ઞાન’ની મહત્તા ને ? (પા.૧૨૪)દાદાશ્રી : બહુ મોટી મહત્તા છે ! ગજબનો વિકાસ છે આ ! નહીં તો એક અંશ પણ કષાય ઓછા ના થાય. સત્સંગની આવશ્યકતાજીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો તે મોક્ષે જતાં સુધી ‘વ્યવસ્થિત’ છે. માથાકૂટ ના કરે તો ‘વ્યવસ્થિત’ મોક્ષે જ લઈ જાય. પણ માથાકૂટ કર્યા વગર રહે જ નહીં ને ? પ્રશ્નકર્તા : તો તમારા હિસાબે સત્સંગ એ પણ ખોટી માથાકૂટ જ ને ? દાદાશ્રી : હા, માથાકૂટ જ કહેવાય. આ કરવાની જરૂર જ નથી. આ તો ગૃહિત મિથ્યાત્વને લીધે ઊંધું કર્યુýં તેથી છતું કરવું પડે. ચા-ખાંડ ધીમે ધીમે ઓગળ્યા જ કરે છે ને ? તેમ આત્મા ધીમે ધીમે મોક્ષ તરફ જ જઈ રહ્યો છે. સત્સંગેય છેવટે તમને શું કહે છે ? કશું કરશો નહીં. જે પરિણામ થાય એને જોયા કરો. નિયતિવાદપ્રશ્નકર્તા : બધું ‘વ્યવસ્થિત’ હોય તો કરવાની કશી જરૂર નથી. વિરોધાભાસ લાગે છે. દાદાશ્રી : આ બધું ‘વ્યવસ્થિત’ જ છે. પ્રશ્નકર્તા : તો એ નિયતિવાદ થયો કે બધું નક્કી જ છે ? દાદાશ્રી : ના, નિયતિવાદ થાય તો તો એ આગ્રહ થઈ ગયો. અમે જીત્યા એવું એ કહે. પછી તો નિયતિ ભગવાન જ ગણાય. નિયતિ એકલું કારણ નથી. સમુચ્ચય કારણોથી થયેલું છે. તેથી અમે કહીએ છીએ કે ‘ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’ છે. (ફક્ત વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા.) નિયતિવાદ હોય તો તો નિરાંત થઈ જાય ! નિયતિવાદ એટલે અહીંથી દરિયામાં નાખ્યું એટલે કિનારે પહોંચ્યું જ. (પા.૧૨૫)પ્રશ્નકર્તા : નિયતિવાદ એટલે પ્રારબ્ધવાદ એમ કહ્યું છે. દાદાશ્રી : પ્રારબ્ધ, નસીબ એ નિયતિ નથી. નિયતિ જુદી વસ્તુ છે. નિયતિ એટલે આ સંસારના જીવોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે કોઈ નિયતિના કાયદાને અનુસરીને ચાલી રહ્યો છે; પણ બીજાં કારણો ઘણાં બધાં આવે છે, જેમ કે કાળ છે, ક્ષેત્ર છે. શુદ્ધ ચિદ્રૂપપ્રશ્નકર્તા : ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય ? દાદાશ્રી : આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા છો ને ? ચિત્તનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે, ચિત્ત નામની વસ્તુ કોઈ જુદી છે એમ જાણે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન ભેગાં કરવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે. ચિત્તની શુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધિ કરવી. શુદ્ધાત્માને શું કહેવાય ? શુદ્ધ ‘ચિદ્રૂપ’. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે એવું જે સ્વરૂપ પોતાનું તે જ શુદ્ધ ચિદ્રૂપ. પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ આપણે જે કહીએ છીએ તે ? દાદાશ્રી : સચ્ચિદાનંદ તો અનુભવદશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે. એની એ જ વસ્તુ, શુદ્ધ ચિદ્રૂપને શુદ્ધાત્મા, એક જ વસ્તુ છે. અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારે તમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. હવે આ બુદ્ધિ એકલી જ હેરાન કરે, ત્યાં સાચવવાનું. બુદ્ધિને માનભેર વળાવી દેવી. જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં અહંકાર નથી. કલ્પિત જગ્યાએ ‘હું છું’ બોલવું એ અહંકાર ને મૂળ જગ્યાએ ‘હું’ એને અહંકાર ના કહેવાય. એ નિર્વિકલ્પ જગ્યા છે. મનુષ્ય ને ‘હું-તું’નો ભેદ ઉત્પન્ન થયો તેથી કર્મ બાંધે છે. કોઈ જાનવર બોલે કે ‘હું ચંદુલાલ છું ?’ એમને ભાંજગડ જ નહીં ને ? એટલે આ આરોપિત ભાવ છે. એનાથી કર્મ બંધાય છે. નિર્-અહંકારે નિરાકૂળતાજ્યાં અહંકાર શૂન્યતા પર છે ત્યાં નિરાકૂળતા પ્રાપ્ત થાય. જ્યાં (પા.૧૨૬)સુધી અહંકાર શૂન્યતા પર ના આવે ત્યાં સુધી નિરાકૂળતા એક ક્ષણવાર પ્રાપ્ત થાય નહીં. નિરાંત પ્રાપ્ત થાય. નિરાંત અને નિરાકૂળતામાં બહુ ફેર. પ્રશ્નકર્તા : એ ફેર સમજાવો. દાદાશ્રી : અહંકાર ગયા પછી નિરાકૂળતા ઉત્પન્ન થાય અને બધા સંયોગો ના હોય ત્યારે નિરાંત હોય. લોકો નિરાંત ખોળે. નિરાકૂળતા તો સિદ્ધનો ૧/૮ ગુણ છે. પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, તેમાં વધારેમાં વધારે શક્તિ તો ચિત્તની છે ને ? દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એ મિશ્રચેતન છે અને પેલાં તો સ્વભાવે પુદ્ગલ છે. ચિત્ત એ જ્ઞાન-દર્શન છે. એ શુદ્ધ થઈ જાય તો શુદ્ધાત્મા થઈ જાય અને જ્યાં સુધી આ સંસારની જેને વાત ગમતી હોય, સંસારમાં જ ચિત્ત ભટક ભટક કરતું હોય તો શુદ્ધાત્મા ના હોય. આ જ્ઞાનના પ્રભાવથી ચિત્ત શુદ્ધ થાય એટલે ‘સ્ટેડીનેસ’ (સ્થાયી) થાય. આધાર-આધારી સંબંધપોતાનો બનાવેલો મહેલ હોય તો તો પાડી નાખીએ. પણ આ તો મહેલ પ્રકૃતિનો બનાવેલો છે. માટે પદ્ધતિસર સમજી સમજીને કરવા જેવું છે. ‘જ્ઞાની પુરુષ’ જાણે કે આ મહેલ શી રીતે ચણાયેલો છે ને આનું કાંગરું ક્યાં મૂકેલું છે, શું કરવાથી પહેલો માળ તૂટી જાય, પછી બીજો માળ ઊડે એ બધુંય ‘જ્ઞાની’ જાણે. પોતે આધાર આપતા હતા તેનાથી જગત ઊભું હતું. ‘હું ચંદુભાઈ છું’ ત્યાં સુધી આધાર આપતા હતા તમે, હવે ‘હું શુદ્ધાત્મા છું’ તે આધાર આપવાનું બંધ થયું એટલે નિરાધાર થયું, એટલે બધી વસ્તુ પડી જાય. આ હાથના આધારે વસ્તુ રહી છે, હાથ ખસેડ્યો તો વસ્તુ પડી જાય. બાકી છોડ્યું છૂટે નહીં. (પા.૧૨૭)પ્રશ્નકર્તા : આધારને વળગેલી જે વૃત્તિ, તે છૂટે કેવી રીતે ? દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ રહે છે તમને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો પછી આધાર રહ્યો જ નહીં. વૃત્તિ રહે જ નહીં. એ જે વૃત્તિ રહે છે તે નિરાધારની છે, આધારની નથી. જ્યારથી આધારીનો આધારભાવ છૂટી જાય છે, પછી જે નિરાધારી થયો તેની જ એ વૃત્તિઓ છે. આપણને એ લક્ષમાં રહેવું જોઈએ કે એ આપણી વૃત્તિ નથી. આપણામાં વૃત્તિઓ નામનું કશું છે જ નહીં. આપણી તો નિજવૃત્તિ, નિજભાવમાં જ રહ્યા કરે છે, સ્વાભાવિક થયા પછી ! અકર્તાપદે મનોમુક્તિપોતે શુદ્ધાત્મા થયો એટલે અકર્તા થયો. પછી મનની ગાંઠ છેદાયા કરે અને ગાંઠ ફૂટે ને કર્તા થાય તો મન ઊભું થઈ જાય. આપણે અકર્તાપદમાં હોઈએ તોય મનની ગાંઠ તો ફૂટ્યા જ કરવાની. મન કૂદાકૂદ કરે તોય નિર્જરા થયા કરે, પણ તે વખતે ‘આપણે’ ઉપયોગમાં રહેવું કે શું થાય છે ને શું નહીં ? ખરાબ વિચાર આવે તોય વાંધો નહીં ને સારા વિચાર આવે તોય વાંધો નહિ. કારણ કે જેને દુકાન કાઢી નાખવી છે, તેને પછી એ માલ સડેલો હોય તોય કાઢી નાખવાનો છે ને સારો હોય તોય કાઢી નાખવાનો છે. ‘‘કર્તાપદ છે આગ્રહી, અકર્તાપદ છે નિરાગ્રહી’’ - નવનીત શુભ કે અશુભનો હવે આગ્રહ નથી. દાન આપવાનોય આગ્રહ નથી. ઉદયમાં આવ્યું હોય ત્યારે દાન આપીએ, તો એની નિર્જરા થઈ જાય. ‘‘અવિચારપદ તે શાશ્વત જ્ઞાન.’’ પોતે જ્યાં સુધી વિચારમાં તન્મયાકાર થયો ત્યાં સુધી વિચાર પદ કહેવાય અને પોતે વિચારથી છૂટો પડ્યો એટલે અવિચારપદ કહેવાય. (પા.૧૨૮)અંતિમ દર્શનપ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યૈથી ? દાદાશ્રી : આ અમારી આજ્ઞા પાળે, તેનાથી આ ભવમાં પુણ્યૈ બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે. તે બધું ફળ આપશે. પ્રશ્નકર્તા : શુભ ધ્યાન જે થાય છે તે પણ ધર્મધ્યાનમાં જાય છે ને ? દાદાશ્રી : હા. પણ શુભ ધ્યાન કે અશુભ ધ્યાન, કર્તા હોય તો થાય. અને આ જ્ઞાન પછી વિચારો આવે, કોઈને દાન આપો તે બધી નિર્જરા છે. પ્રશ્નકર્તા : અહીંયાં સત્સંગમાં આપણે પદો ગાઈએ, એનું શું ? દાદાશ્રી : એ બધું અમારી આજ્ઞામાં આવી ગયું. જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મધ્યાનનું ફળ ઊંચામાં ઊંચી મનુષ્યગતિ આવે. તેનાથી આવતો ભવ બહુ સુંદર આવે, તીર્થંકરો આપણને મળે, પછી શું જોઈએ ? આપણને આત્મા તો પ્રાપ્ત થઈ ગયેલો છે. ખાલી છેલ્લાં તીર્થંકરનાં દર્શન કરવાનાં રહે છે તે એક જ વખત થાય તો બહુ થઈ ગયું. કેવળજ્ઞાન અટકેલું હોય તે પૂરું થાય. ‘જ્ઞાની પુરુષ’ તો પોતે જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય. એથી આગળ ના લઈ જાય. આગળ તો આગળનાં જે હોય તેની પાસે લઈ જાય, એમાં ચાલે જ નહીં ને ? એસિડનો બર્ન કે મુક્તિનું આસ્વાદન ?!!!આપણે ત્યાં પેલાં એક ભાઈ આવે છે ને, તેમનો ભત્રીજો એસિડથી દાઝયો હતો. દેવતામાં પડવું સારું પણ એસિડ બહુ વસમું. ડૉક્ટરો બધા ગભરાઈ ગયેલા કે આ છોકરો ત્રણ કલાકથી વધારે નહીં જીવે. એ છોકરાને અમે જ્ઞાન આપેલું. તે ડૉક્ટરોને હસતાં હસતાં એ શું કહે કે, ‘‘તમારે મને જ્યાંથી કાપવું હોય ત્યાંથી કાપો. હું જુદો ને રાજુ જુદો !’’ આ (પા.૧૨૯)સાંભળીને ડૉક્ટરો બધા સજ્જડ થઈ ગયા ! તે છોકરો બચી ગયો. એ મરી જ જાત જો આ જ્ઞાન ના મળ્યું હોત તો. અડધું તો ‘સાયકોલોજિકલ ઇફેક્ટ’થી માણસ મરી જાય છે. મને શું થઈ ગયું ? શી રીતે થયું ? આ તો મટશે નહીં. જ્યારે રાજુ તો કહે કે ‘હું જુદો ને રાજુ જુદો.’ હું જ્યારે દવાખાનામાં એને મળવા ગયો ત્યારે એ ખૂબ આનંદમાં હતો અને કહેવા લાગ્યો, ‘‘મારી જોડે રાજુ સૂઈ ગયો છે !’’ બધા ડૉક્ટરો અહોહો થઈ ગયા ! આવો કેસ બનેલો જોયો જ નથી. આ શું છે બધું ? ત્યારે કહે કે, ‘દાદા છે આની પાછળ.’ ‘આ જ્ઞાન’નો પ્રતાપ છે. એ પાછો ક્ષત્રિયકુળનો. દાદાએ કહ્યું કે, ‘તું જુદો જ છે, રાજુથી.’ એટલે એ જુદો જ માને અને તમારા વણિકકુળને તો અડ્યા વગર રહે કે? પ્રશ્નકર્તા : અડે, દાદા. આ દાઝવાનું કયા કારણનું પરિણામ છે ? દાદાશ્રી : એ તો અમારાં ક્ષત્રિયોનાં કામ જ એવાં હોય. અશાતા વેદનીય કોઈને આપી હોય તો એટલી અશાતા વેદનીય આપણે ભોગવવી પડે, પછી કોઈ પણ દેહધારી હોય, મનુષ્ય હોય કે જાનવર હોય ! આ કંઈ પૈસા કમાવા જતાં નથી કરેલું. અશાતા વેદનીયનું આ ફળ છે. કોઈને સહેજ પણ દુઃખ થાય એવો ત્રાસ કરીએ ત્યારે આ ફળ આવે. ક્ષત્રિય લોકો અશાતા કરીયે જાણે ને ભોગવીએયે જાણે. જ્યારે તમે અશાતા કરોય નહીં ને ભોગવોય નહીં. પ્રશ્નકર્તા : આ પૂર્વભવનું હશે ને ? દાદાશ્રી : આ પૂર્વભવનાં ‘કૉઝિઝ’ની ‘ઇફેક્ટ્સ’ છે. માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે, તેમાં તે તો ઊંધે માથે હોય છે. તેનાથી તો ફરાય નહિ. છતાં એ બહાર આવે છે તે મા ધકેલે છે કે ડૉક્ટર ખેંચે છે કે બચ્ચું આવે છે ? કોણ કરે છે આ ? આ બધી ‘ઇફેક્ટ્સ’ છે, પરિણામ છે. પૂર્વે જે કૉઝિઝ હતાં, તેનાં પરિણામ સ્વાભાવિક રીતે થાય. (પા.૧૩૦)મિત્ર શત્રુ કે શત્રુ મિત્ર ?‘‘નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને, સૌ મિત્ર રાખે.’’ માણસથી જો નીપજતું હોય તો આ બધાં શત્રુઓને મારી નાખીને મિત્રો જ રાખે. તોય શત્રુ વગરની ભૂમિકા ના થાય. એ મિત્રોમાંથી જ પાછા શત્રુ ઊભા થાય. એના કરતાં જો પેલા શત્રુ રહેવા દીધા હોત ને તો પેલા મિત્રો શત્રુ થાય ત્યારે પેલા શત્રુઓ મિત્રો થયા હોત ! ત્યારે એ કામ લાગે ! મારવા જેવું આ જગત નથી. કાયમી કશી વસ્તુ હોતી નથી. તમારે નક્કી ના કરવું કે આ કાયમનો મારો દુશ્મન છે. પ્રશ્નકર્તા : ‘નમો અરિહંતાણં’માં જે બોલીએ છીએ ને આપે જે શત્રુ ને મિત્રની વાત કરી, તે શું ? દાદાશ્રી : અરિહંતવાળી વાત તો, આંતરશત્રુઓ માટે છે. આંતરશત્રુઓ એટલે ક્રોધ-માન-માયા-લોભ જેણે હણી નાંખ્યા છે એવા અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. સ્વાભાવિક થવામાં નૈમિત્તિક કારણો હોય છે. આંતરશત્રુઓને ઓળખો કે આ અમારા વિરોધી છે, તે શત્રુ છે. મારવાનાં કોઈને નથી. શત્રુ પર દ્વેષ કરવાનો નથી. તો હવે આ શત્રુઓને મેં બોલાવ્યા છે કે શત્રુઓનો બોલાવેલો હું આવ્યો છું, એની તપાસ કરો. પછી શત્રુઓ કેવી રીતે જાય, એનાથી મુક્ત કેવી રીતે થવાય, તેની તપાસ કરો. સાધના, સાધ્યભાવે-સાધનભાવેપ્રશ્નકર્તા : શત્રુઓ હણવા માટે જે સાધના કરવાની ટેવ પડી ગયેલી છે તેનાથી એ હણાઈ જાય ખરા ? દાદાશ્રી : એવું છે ને, સાધના બે પ્રકારની છે : (૧) સાધના, સાધ્યભાવ માટે જ કરવી તે (૨) સાધના, સાધના માટે કરવી તે. (પા.૧૩૧)સાધ્યભાવે સાધના એ છેલ્લી સાધના કહેવાય અને તે અમુક હદ સુધી માણસ જાતે કરી શકે. આ બેહદનાં સાધનો નથી. બેહદમાં તો ‘જ્ઞાની પુરુષ’નું નિમિત્ત જોઈશે. એ ભેગા થાય ત્યારે તેમને આપણે કહેવાનું, ‘આપ જે પદને પામ્યા છો એ પદ અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો.’ ખાલી કૃપાની જ માગણી કરવાની છે અને તેય ‘જ્ઞાની પુરુષ’ કર્તા છે નહીં. એ નિમિત્ત છે. એ નિમિત્ત હોય તો જ કાર્ય થશે, નહીં તો નહીં થાય. પ્રશ્નકર્તા : સાધનામાર્ગમાં જે ગુરુઓ હોય છે તે લોકો પોતે નિમિત્તભાવ જેવું માનતા હોતા નથી. દાદાશ્રી : ખરી વાત છે. એ એમાં પોતાની જાતને માને કે મારે આટલું કરવું જ જોઈએ, મારા શિષ્યોએ આટલું કરવું જ જોઈએ, પોતે બંધાય અને શિષ્યો પણ બંધાય. પણ બંધાતાં બંધાતાં આગળ વધે, પ્રગતિ માંડે અને આ તો ‘જ્ઞાની પુરુષ’, તે પોતે બંધાય નહીં અને મુક્ત કરે. કર્તાભાવ બંધાવે ને નિમિત્તભાવ મુક્ત કરે. પુરણ-ગલન ને પરમાત્માપ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે, તો કૃપા-અવકૃપા એ ઘાલમેલ કોણ કરે છે ? કોની મારફતે કરાવે છે ? દાદાશ્રી : કોઈ ઘાલમેલ કરતું નથી, બધું આ પુદ્ગલ જ છે. પ્રશ્નકર્તા : પ્રેરણા બધી પુદ્ગલની જ છે ? દાદાશ્રી : બધું પુદ્ગલ છે. પુદ્ગલમાં અહંકાર હઉ આવી ગયો. ક્રોધ-માન-માયા-લોભ બધું જ આવી ગયું. બધું પુદ્ગલ પુરણ-ગલન થયા કરે. અહંકારેય પુરણ-ગલન થયા કરે. લગ્નમાં જાય ને કોઈ જે’ જે’ કરે તો અહંકારનું પુરણ થાય; જે’ જે’ ના કરે તો પાછું ગલન થાય ! ક્રોધ એકદમ નીકળે ત્યારે ૫૦૦ ડીગ્રીએ હોય. પછી ૪૦૦ થાય, ૩૦૦ થાય ૨૦૦, ૧૦૦, ઝીરો થઈ જાય. (પા.૧૩૨)લોભેય એવો પુરણ-ગલન થાય. બધું પુરણ-ગલન થયા કરે. પ્રશ્નકર્તા : આત્મા અને પુદ્ગલમાં ફેર શું ? દાદાશ્રી : આત્મા એક જ વસ્તુ છે. એક જ વસ્તુ એટલે એ વધ-ઘટ થતી નથી, એક જ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે પુદ્ગલ એ સ્વાભાવિક વસ્તુ નથી. પુદ્ગલ કોને કહેવાય ? આમાં ખાવાનું પૂરે, તે પુરણ કહેવાય અને સંડાસમાં જાય, તે ગલન કહેવાય. શ્વાસ લીધો તે પુરણ ને ઉચ્છ્વાસ એ ગલન છે. એ પુદ્ગલ પુર્ગલ ઉપરથી થયું છે. આ શરીરમાં પુદ્ગલ અને આત્મા બે જ વસ્તુ છે. જો પુદ્ગલ અને આત્માની વહેંચણી કરતાં આવડી જાય તો તેને આત્મા જડી જાય. પણ એવી માણસમાં શક્તિ નથી, એ માણસની મતિની બહારની વાત છે. બુદ્ધિથી પરની આ વાત છે ! ‘જ્ઞાની પુરુષ’માં ભગવાન જાતે બેઠેલા હોય તે એમની કૃપાથી શું ના થાય ? જ્ઞાનીની કૃપાપ્રશ્નકર્તા : અહીં બધા બેઠા છીએ તે દાદા ભગવાનની કૃપા દરેક ઉપર સરખી ઊતરશે ? દાદાશ્રી : ના, સરખી નહીં. તમારો ‘દાદા ભગવાન’ પર કેવો ભાવ છે, તેના પર છે. પ્રશ્નકર્તા : મારું વાસણ ધારો કે મોટું હોય તો વધારે પાણી લે ને કોઈ લોટા જેટલું પાણી લે. તો વાસણ ઉપર આધાર રાખે કે ભાવ ઉપર ? દાદાશ્રી : એમાં વાસણની જરૂર નહીં. કશું ના આવડતું હોય તો હું કહું કે, ‘કશું ના આવડતું હોય તો અહીં બેસી રહે બા, જા પેલા બૂટ સાફ કર્યા કરજે.’ જ્ઞાનીના કૃપાપાત્ર થવાનું છે, બીજું કશું કરવાનું નથી. કૃપા પ્રાપ્ત (પા.૧૩૩)કરવામાં શું અડચણ કરે ? આપણી આડાઈઓ. પ્રશ્નકર્તા : તે આડાઈઓ ના કાઢવી જોઈએ ? દાદાશ્રી : ના, એ જલદી પેલા લાભ ના થવા દે. અમે આડાઈઓ દેખીએ ત્યાં કરુણા રાખીએ. એમ કરુણા રાખતાં રાખતાં આડાઈઓ ધીમે ધીમે ખસેડાય. ત્યાં માથાકૂટ વધારે કરવી પડે. શાસ્ત્રનું વાચનપ્રશ્નકર્તા : સદ્શાસ્ત્રોના વાચનથી પાપોનો ક્ષય ના થઈ શકે ? દાદાશ્રી : ના, એનાથી પુણ્ય બંધાય ખરું. પાપોનો ક્ષય ના થાય. બીજું નવું પુણ્ય બંધાય, તે પુણ્યાનુબંધી પુણ્યૈ કહેવાય. સદ્શાસ્ત્રનો અભ્યાસ કરે, તેમાંથી સ્વાધ્યાય થાય. એટલે ચિત્તની એકાગ્રતા, મનની એકાગ્રતા બહુ સુંદર થાય. પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ’ના સત્સંગની સાથે સદ્શાસ્ત્રનું વાંચન અને મનન કરવું જોઈએ ને ? દાદાશ્રી : એ બરોબર છે, પણ જો જ્ઞાનીના સત્સંગથી ફૂલ માર્ક્સ આવી જાય, પછી વાંચનની જરૂર ના રહીને ? આ બધાને ફૂલ માર્ક્સ આવી ગયા પછી વાંચે તો બોધરેશન વધે ઊલટું. હવે આટલી સુંદર જાગૃતિ થયા પછી નકામો ટાઈમ જાય. પ્રશ્નકર્તા : નિમિત્ત રીતે વાંચે તો ? દાદાશ્રી : નિમિત્ત રીતે ખરું, પણ એ સંજોગાધીન છે. એટલે આપણા કાબૂમાં નથી. પ્રશ્નકર્તા : સંજોગો ઉપર કાબૂ નથી. એવું કહેવું એ આપણા મનની નબળાઈ ના કહેવાય ? દાદાશ્રી : ના, આ વર્લ્ડમાં એવો કોઈ માણસ નથી કે જેનો સંજોગો પર કાબૂ હોય ! (પા.૧૩૪)દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો...‘‘દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો છૂટી શકે છે ભવનો ફજેતો.’’ - નવનીત દ્રવ્ય એટલે કર્મ ફળ આપવા તૈયાર થયું હોય તે. દ્રવ્ય પલટે નહીં તેનો દાખલો આપું. એક માણસને ચોરીની ટેવ પડેલી હોય, તે પોતે કહે કે મારે છોડવી છે તોય ના છૂટે એવું બને કે નહીં ? એનો કાળ આવે ત્યારે જ પલટે. હવે કવિ શું કહેવા માંગે છે કે તું રોજ મનમાં ભાવ કર કે ચોરી કરવા જેવી નથી. તો ચોરીના બીજ એક દહાડો ખલાસ થશે ને નહીં તો પાછો ચોરી કરવાના ભાવ કરીશ તો ફરી ચોરી કરવાનાં બીજ પડશે. એટલે ચોરીમાંથી ચોરી જ થાય. આ વાક્ય બહુ ઊંડા ગૂઢાર્થવાળું છે. હવે જેણે સ્વરૂપનું જ્ઞાન લીધું હોય તેણે શું કરવાનું ? ‘જોયા’ જ કરવાનું. ‘જોયા’ કરે એટલે નવું બીજ પડતું નથી. વળી કોઈને દુઃખ થાય એવી ચોરી કરી હોય તો આપણે વધારાનું શું કહીએ છીએ કે, ‘ચંદુભાઈ, આ અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરી લો.’ જગત આખું ચોરી કરે એટલે ફરી ચોરીનાં બીજ પડે. લાંચ લેતો હોય ને મનમાં ખૂંચ્યા કરતું હોય કે આ ન જ થવું જોઈએ. પણ જો કોઈ કહે કે, ‘આ લાંચ શું કરવા લો છો ?’ ત્યારે એ કહે કે, ‘તારામાં અક્કલ નથી. બેસ ! આ બે છોડીઓ શી રીતે પૈણાવીશું ?’ એટલે પોતે આ રોંગ(ખોટા)ને ‘એન્કરેજ’ કર્યું. એટલે આવતો ભવ સજ્જડ થયો. એટલે આ સંસારના માણસો તો જો ચોરી કરતા હોય, લુચ્ચાઈ કરતા હોય, લાંચ લેતા હોય તો એણે મનમાં ભાવ એવા કરવા જોઈએ કે આ ખોટું કામ થઈ રહ્યું છે. આ ન જ કરવું જોઈએ એવું ગા ગા કર્યા કરવું જોઈએ. દ્રવ્ય હવે હાથમાં નથી રહ્યું. પાણીનો બરફ થઈ ગયો. હવે શી રીતે એનો રેલો જાય ? ઢગલો જ પડે. (પા.૧૩૫)પ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે ને ? પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ? દાદાશ્રી : ભાવ તો થવાનો પણ ‘આપણે’ તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદ-બે વખતે હોય, તેનું આપણે પ્રતિક્રમણ કરવું પડે. આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો આત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના મૂળ ઉત્પાદક તો આપણે જ હતા ને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.’ પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં પચાસ- સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યાં હોય તે બધાના નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી-ખોળીને, પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશે ને ! પછી જ્ઞાન પ્રગટ થશે. પ્રશ્નકર્તા : પણ દાદા, જેણે મને રગડ્યા છે એને જ મેં રગડ્યા છે. દાદાશ્રી : તમને જેણે રગડ્યા હશે તેનું તો તે ભોગવી લેશે. તેની જવાબદારી તમારી નથી. જે રગડે છે એને જવાબદારીનું ભાન નથી. એ આ અવતારમાં રોટલી ખાય છે, તે આવતા અવતારમાં પૂળા ખાવાનો વાંધો નથી એને ! અહંકારનો લાભ !અહંકાર ગયો કે ઉકેલ આવ્યો. અહંકાર છે ત્યાં સુધી જગત ઊભું (પા.૧૩૬)રહેશે. કાં તો આત્મા હોય, કાં તો અહંકાર હોય. અહંકાર હોય તો આત્માનો લાભ ના થાય અને આત્મા છે તો પછી અહંકારનો લાભ ના થાય. પ્રશ્નકર્તા : અહંકારમાં પણ લાભ હોઈ શકે ? દાદાશ્રી : આ અહંકારના લાભમાં તો આ બધા છોડીઓ પૈણાવે છે, છોકરા પૈણાવે છે, છોકરાનો બાપ થઈને ફરે છે. બૈરીનો ધણી થઈને ફરે છે. તે અહંકારનો લાભ ના મળ્યો કહેવાય ? આખું જગત અહંકારનો જ લાભ ભોગવી રહ્યું છે. અમે સ્વરૂપધારી આત્માનો લાભ ભોગવી રહ્યા છીએ. આ સ્વોપાર્જિત છે ને પેલું અહંકાર ઉપાર્જિત છે. પ્રશ્નકર્તા : ભ્રાંતિ જાય તો મુક્ત થવાય ને ? દાદાશ્રી : હા, ભ્રાંતિ ગઈ એટલે ‘જેમ છે તેમ’ જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે અજ્ઞાન ગયું, અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભગવાનની માયા ગઈ એટલે અહંકાર ગયો, અહંકારશૂન્ય થઈ ગયો એટલે ઉકેલ આવ્યો ! ‘ઈગોલેસ’ કરવાની જરૂર નથી...કોઈ જાતનો ધંધો ના હોય એનું નામ આત્મા ! પ્રશ્નકર્તા : આ પ્રયત્નો કોણ કરે છે ? દાદાશ્રી : અહંકાર કરે છે. પ્રશ્નકર્તા : ચગે છે કોણ ? દાદાશ્રી : અહંકારનો બહારનો ભાગ ચગે છે, તે ડિસ્ચાર્જ થતી વસ્તુ છે ને ‘ઈગોઈઝમ’ ચાર્જ કરે છે. પ્રશ્નકર્તા : સંપૂર્ણ નિર્અહંકાર ક્યારે પેદા થાય ? દાદાશ્રી : તમારે એ પેદા કરીને શું કામ છે ? (પા.૧૩૭)પ્રશ્નકર્તા : ‘ઈગો’થી ફાયદો નથી, એ તો ખબર પડી છે. દાદાશ્રી : એટલે આ ‘ઈગોલેસ’ હોય તો કંઈ ઉત્તમ ફળ મળે ? પ્રશ્નકર્તા : પોતાનો અંદરનો આનંદ, પરમાનંદ પછી પ્રગટે. દાદાશ્રી : એવું છે કે ‘ઈગોલેસ’ કરવાની જરૂર નથી. ‘આપણે કોણ છીએ’ એ જાણવાની જ જરૂર છે. આપણું જે સ્વરૂપ છે એમાં ‘ઈગોઈઝમ’ છે જ નહીં. ‘તમે’ ચંદુભાઈ નથી, છતાં ‘ચંદુભાઈ છું’ એમ માનો છો એનું નામ ‘ઈગોઈઝમ’. અજ્ઞાનનો આધારમહીં ચીડ ઊભી થાય એને પોતે વાળવા પ્રયત્ન કરે, પણ ચીડ એ ‘ઈફેક્ટ’ છે ને વાળવા પ્રયત્ન કરે છે એ ‘કૉઝિઝ’ છે. કેટલાક માણસો ચિડાય પણ એને વાળે નહીં ને ઉપરથી કહે કે ‘હા, ગુસ્સો કરવા જેવો જ હતો.’ તે પણ ‘કૉઝિઝ’ છે. સમજાયું તમને ? પ્રશ્નકર્તા : ચિડાવાનું કારણ શું ? દાદાશ્રી : અજ્ઞાનતા. અજ્ઞાનતાને લઈને રાગ-દ્વેષ કર્યા કરે. આ સારું, આ ખોટું એમ કર્યા કરે. ખરેખર તો આની ‘ઈફેક્ટ’ છે. તેને ‘આપણે’ સ્વીકારી લઈએ છીએ, એને આધાર આપીએ છીએ. ‘મને ટાઢ વાઈ, મને થયું, મને ભાવતું નથી.’ એ આધાર આપ્યો કહેવાય. હવે કઢી ખારી લાગી, તે જીભના તાબાની વસ્તુ છે. તેને આપણે કહેવાની જરૂર શું ? આ રીતે આધાર અપાય છે ને કૉઝિઝ કરે છે. આખી જિંદગી રાગ-દ્વેષ કર્યા કરે છે. ગમતી વસ્તુઓ પર રાગ ને ના ગમતી ઉપર દ્વેષ કરે છે. પ્રશ્નકર્તા : આ રાગ-દ્વેષ કરનાર કોણ છે ? અજ્ઞાનતા ? દાદાશ્રી : ‘ઈગોઈઝમ’. અજ્ઞાનના આધારથી ‘ઈગોઈઝમ’ ઊભો રહ્યો છે ને ‘ઇગોઇઝમ’ આ બધું કર્યા કરે છે. જો અજ્ઞાનનો આધાર તૂટી જાય તો ‘ઈગોઈઝમ’ પડી જાય. (પા.૧૩૮)સંસારનું ‘રૂટ કોઝ’આ કૉઝિઝનું તમને સમજાયું કે ના સમજાયું ? કોઈ તમારો ગમતો ભાઈબંધ આવ્યો તો તમે ખુશ ખુશ થઈ જાવ એ રાગ છે ને ના ગમતો માણસ આવે ત્યારે ? પ્રશ્નકર્તા : એકદમ એને કાઢી તો ના મૂકાય, પણ મન મારીને બેસી રહીએ. દાદાશ્રી : એ દ્વેષ કહેવાય. આમ રાગ-દ્વેષ કર્યા કરો છો. વેદાંત શું કહે છે કે આ મનુષ્યો પરમાત્મા કેમ થઈ શકતા નથી ? કારણ મળ, વિક્ષેપ ને અજ્ઞાન છે તેથી. જૈનોની ‘થિયરી’ એમ કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન છે તેથી. બન્નેના મૂળમાં અજ્ઞાનતા છે જ. એટલે અજ્ઞાનતા જાય એટલે આધાર તૂટી જાય. ‘ઈફેક્ટ’ તો તેની મેળે થયા જ કરે છે. પણ પોતે અંદર ‘કૉઝિઝ’ કરે છે, આધાર આપે છે કે ‘મેં કર્યું, હું બોલ્યો’. ખરી રીતે ‘ઈફેક્ટ’માં કોઈને કરવાની જરૂર જ નથી. ‘ઈફેક્ટ’ એની મેળે સહજભાવે થયા જ કરે છે. પણ આપણે તેને ટેકો આપીએ છીએ કે ‘હું કરું છું’ એ ભ્રાંતિ છે અને એ જ ‘કૉઝિઝ’ છે. પ્રશ્નકર્તા : એ ‘કૉઝ’નું ‘કૉઝ’ શું છે ? દાદાશ્રી : અજ્ઞાનતા. ‘રૂટ કૉઝ’ અજ્ઞાનતા છે. ‘જ્ઞાની પુરુષ’ અજ્ઞાનતા દૂર કરે. લક્ષ્મીની લિંકપૈસાવાળો કોણ ? મનનો જે રાજેશ્રી છે તે. હોય તો વાપરે ને ના હોય તોય વાપરે. આ અનાજ છે તે ત્રણથી પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં. અગિયાર વરસે પૈસા બદલાય. પચીસ કરોડનો આસામી હોય, પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો (પા.૧૩૯)એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની ‘એક્સપાયરી ડેટ’ લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય છે. પ્રશ્નકર્તા : આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ? દાદાશ્રી : આજે ૭૭ની સાલ થઈ, તો આજે આપણી પાસે ૬૬ પહેલાંની લક્ષ્મી ના હોય. પ્રશ્નકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ ક્યાંથી આવ્યો ? દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય. લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨૦૦ વર્ષ પહેલાંના વાણિયા હતા, તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે. પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની ‘સિસ્ટમ’ હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થઈ જાય ? ચાર બાજુ ચાર ખીલા માર્યા ! આજના વાણિયાને તો આવું કશું આવડતુંયે નથી ! કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, ‘હું ગમે તેટલી માથાકૂટ કરું છું તોય કશું વળતું નથી.’ એટલે હું કહું ‘‘અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.’’ પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય, તો પછી ‘ટેન્ડર’ ભરવાનું ક્યાં રહ્યું ? દાદાશ્રી : એ ‘ટેન્ડર’ ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે ‘ટેન્ડર’ ભરો, પણ હું જાણું કે (પા.૧૪૦)શેના આધારે ‘ટેન્ડર’ ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી. હું ઘણાં જણને મારી પાસે ‘ટેન્ડર’ ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા ને થોડું થોડું સાધારણ કામ કર. અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શું છે ? ઘેર બેઠાં સામાસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જ જરૂર છે. અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, ‘‘હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધવધ કરે છે. મારી ઇચ્છા નથી તોય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?’’ મેં એને કહ્યું, ‘‘એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !’’ આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછયું કે, ‘મારે શું કરવું ?’ મેં કહ્યું, ‘દાદા’નું નામ લેજે હવે. અત્યાર સુધી તારી લિંક આવી હતી. લિંક એટલે અંધારામાં પત્તાં ઉઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઉઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે ‘વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.’ કરે તે તેને ૧૦૭ સુધી સાચું પડ્યું છે પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશને તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક તમને બુદ્ધુ કહેશે. માટે આ ‘દાદા’નું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ.’’ પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ (પા.૧૪૧)વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બન્નેએ માંકણ મારવાની દવા પી લીધી. તે ‘દાદા’નું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જે ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, ‘‘આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.’’ ત્યાર પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું, તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું. ‘દાદા’ બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહિ. ચોગરદમ ભમ્યા કરે, પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતા સુધી બોલ્યા અને સવારમાં ઊઠતાંની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય. મિકેનિકલ ચેતનજગતના લોકો જાણતા જ નથી કે આમાં ચેતન કોને કહેવાય ? એ તો ‘બૉડી’ (શરીર)ને ચેતન કહે છે. બધાં કાર્ય કરે છે તે ચેતન કરે છે, એમ કહે છે. પણ ચેતન કશું જ કરતું નથી. ફક્ત ‘જાણવાની’ ને ‘જોવાની’, બે જ ક્રિયાઓ એની છે. બીજું બધું અનાત્મ વિભાગનું છે. આ બોલે છે કોણ ? એ નિશ્ચેતન ચેતન છે, મિકેનિકલ ચેતન છે. એ દરઅસલ ચેતન નથી. કેટલાક આને સ્થિર કરે છે. અલ્યા, શું કરવા સ્થિર કરે છે ? તું મૂળ સ્વરૂપને ખોળી કાઢને ! મૂળ સ્વરૂપ સ્થિર જ છે. આ પાછું આને સ્થિર કરવાની ટેવ શું કરવા પાડે છે ? આ નિશ્ચેતન ચેતન તો મૂળથી જ ચંચળ સ્વભાવનું છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ થાય. આ ચંચળને સ્થિર કરવા ફરે છે, તે કેટલો ઊંધો રસ્તો લોકોએ પકડ્યો છે ? તેથી તો અનંત અવતારથી ભટકભટક કરે છે ! આ જગતમાં બે વસ્તુ છે : એક સચર છે અને એક અચર છે. સચરાચર આ બૉડી છે અને જગતેય આખું સચરાચર છે. સચર (પા.૧૪૨)એ મિકેનિકલ ભાગ છે, અનાત્મ વિભાગ છે અને અચર એ આત્મ વિભાગ છે. એટલે વાતને સમજે તો ઉકેલ આવે, નહિ તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે. બાકી કરોડ અવતાર ત્યાગ કરે, તપ કરે તોય કશું વળશે નહિ. આત્મા ત્યાગસ્વરૂપ જ છે. સર્વસંગ પરિત્યાગ સ્વરૂપ છે. હવે આત્મા માટે ત્યાગ કરવા જાય તે બધું તોફાન છે. ‘ત્યાગે ઉસકો આગે.’ તમારે જો આગળ જોઈતું હોય તો ત્યાગ કરો. ચિત્ત અને અંતરાત્માપ્રશ્નકર્તા : ચિત્ત અને અંતરાત્મા વચ્ચેનો ભેદ સમજાવો. દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થયું એ જ અંતરાત્મા. એ અંતરાત્મા શાથી કહેવાય કે પોતાના પરમાત્માને એટલે કે શુદ્ધાત્માને ભજવાનું છે, તે રૂપ એટલે કે શુદ્ધાત્મ રૂપ થવાનું છે. પહેલું, શુદ્ધાત્મા પ્રતીતિમાં આવે, લક્ષમાં આવે. ત્યારબાદ અનુભવ પદમાં રહેવા માટે, શુદ્ધાત્માની જોડે એક લક્ષ, એકતાર કરવાનું ! પણ જ્યાં સુધી બહાર ‘ફાઈલો’ હોય ત્યાં સુધી તેવું આખો દહાડો થાય નહીં, એટલે અંતરાત્મા કહ્યો. અંતરાત્મદશા એટલે ‘ઈન્ટરિમ ગવર્મેન્ટ’ અને આ ‘ફાઈલો’ પૂરી થઈ એટલે ‘ફૂલ ગવર્મેન્ટ’ પરમાત્મા થાય. અહીં આવી જશો તો એનો ઉકેલ આવશે અને લાંબુ ફરવા જશો તો નર્યાં પુસ્તકો ને પુસ્તકો ભરાશે. એનો પાર જ નથી આવે એવો. પરમાત્મા એ ‘પરમેનન્ટ’ છે. મૂઢાત્મા, બર્હિમુખી આત્મા એ ‘પરમેનન્ટ’ નથી અને અંતરાત્મા પરભવમાંય સાથે જાય. મૂઢાત્મ દશા પરભવમાં આની આ જ સાથે ના હોય, ત્યાં બીજી મૂઢાત્મ દશા આવે. વૃત્તિ વહે નિજ ભાવમાંપ્રશ્નકર્તા : ચિત્ત શુદ્ધ થયા પછી, અંતરાત્માનું જ્ઞાન જે પ્રાગટ્ય કરે છે, એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે. એટલે મન છે તે એકદમ (પા.૧૪૩)બાહ્ય વિચારો તરફ ઝૂકતું નથી, પણ આંતરિક વિચારો તરફ વધારે ઢળે છે. દાદાશ્રી : એટલે કે જે વૃત્તિઓ પહેલાં બહાર ભટકવા જતી હતી તે હવે પાછી અંદર આવે, પોતાને ઘેર આવે. પ્રશ્નકર્તા : એમાં મનની લાગણીઓમાં કંઈ ફેરફાર થાય ખરો ? દાદાશ્રી : કશો જ ફેરફાર થાય એવું નથી. મન જડ છે. બહાર જે જાય છે તે ‘પરમેનન્ટ’ વસ્તુ નથી. ક્ષણે ક્ષણે એ બદલાયા કરે. આમાં ‘પરમેનન્ટ’ આપણે ‘પોતે’. બીજું આ બધું તો બદલાયા જ કરે. તમને ખાલી ભાસ થાય કે આ વરસાદ પડશે ને એ ઊડી જાય ! એ ખાલી ભાસ્યમાન પરિણામ છે. એનો લાંબો કશો અર્થ નથી. એટલે આપણને શું ભાસે છે ? કોને એ ભાસે છે ? એની તપાસ કરવાની. ચિત્ત ‘દાદા ભગવાન’ને યાદ કરે, જેમાં ને તેમાં ‘દાદા’ દેખાય તે ચિત્ત બહુ સારું કહેવાય. એવું ઘણાંને રહે છે. વત્તા-ઓછા પ્રમાણમાં હોય. ‘દાદા ભગવાન’ એ જ પોતાનો ‘શુદ્ધાત્મા’ છે એટલે ચિત્ત શુદ્ધાત્મામાં રાખો કે ‘દાદા ભગવાન’માં રાખો, એ સરખું જ છે. બન્ને ચિત્તને શુદ્ધ જ રાખે છે. સંસારી ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય. અશુદ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. એ શુદ્ધ ચિત્ત થાય છે એટલે શુદ્ધ ચેતન થઈ જાય છે. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ ચેતન. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું એ જ આપણું સ્વરૂપ. એને અંતરાત્મ દશા કહેવાય. ચિત્ત અને પ્રજ્ઞાપ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ બહાર જાય ? ચિત્તની જેમ ? દાદાશ્રી : ચિત્ત એકલું જ ભટકવાનું. પછી શુદ્ધ થાય એટલે ભટકે નહીં. અશુદ્ધ ચિત્ત ભટક ભટક કરે. અરે ! મહેફિલમાં હઉ જઈ આવે કે જ્યાં બ્રાંડીની બાટલીઓ ઊડતી હોય ! ચિત્તની શક્તિઓ બહુ ભારે છે. તેથી જ લોકો કંટાળી જાય છે ને ! (પા.૧૪૪)આ મન લોકોને એટલું બધું હેરાન કરતું નથી, પણ ચિત્ત બહુ હેરાન કરે. મન તો બે કામ કરે છે એક સારા વિચાર ફૂટે ને એક ખરાબ વિચાર ફૂટે - કોઠીમાંથી ફૂટે એમ. વિચારો એ જ્ઞેય વસ્તુ છે ને ‘આપણે’ ‘જ્ઞાતા’ છીએ. આ તો ભ્રાંતિને લઈને એમ લાગે છે કે મને વિચાર આવ્યા. દાદાશ્રી - કળી ખીલવતાદાદાશ્રી : આ આડાઅવળા ધંધા હવે કરીશ ? જાનવર થવું છે તારે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ બે પગથી પડી જવાય, તેના બદલે ચાર પગ હોય તો સારું, પડી તો ના જવાય ! અને વધારામાં પૂંછડું ઇનામમાં મળે તે કૂદતું કૂદતું તો જવાય !!! હવે તારે એવું કંઈ થવું છે કે મનુષ્ય જ થવું છે ? પ્રશ્નકર્તા : મનુષ્ય થવું છે. દાદાશ્રી : તો પછી મનુષ્યના ગુણો જોઈશે. જે તને ગમે છે એવું જ સામાને આપીએ તો મનુષ્યપણું આવે. કોઈ તને નાલાયક કહે, તો તને ગમે ? પ્રશ્નકર્તા : ના ગમે. દાદાશ્રી : એટલે આપણે સમજી જવું કે આપણે કોઈને નાલાયક કહીએ તો એને કેમ ગમે ? એટલે આપણે એમ કહેવું કે આવો ભાઈ, તમે બહુ સારા માણસ છો. એટલે એને આનંદ થાય. કોઈ આપણી પાસે જૂઠું બોલે તો આપણને દુઃખ થાય; તેવું આપણે કોઈની પાસે જૂઠું બોલીએ તો તેને કેટલું દુઃખ થાય ? અણહક્કનું ભોગવી ના લેવાય. અણહક્કનું ભોગવે છે લોકો ? પ્રશ્નકર્તા : ઘણા જણ ભોગવે. (પા.૧૪૫)દાદાશ્રી : અરે, બૈરી હઉ ઉઠાવી જાય છેને લોકોની ! પોતાની હક્કની બૈરી રાખવી. આ તો બૈરી બીજાની ખોળી લાવે ! હક્કની પોતાની સ્ત્રી હોય તો કોઈ વાત ના કરે, ઘરનાંય કોઈ વઢે નહીં. માટે કયા ખાડામાં પડવું સારું ? પ્રશ્નકર્તા : હક્કના. દાદાશ્રી : અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ. પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં. દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારેય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તોય, ‘હે દાદા ભગવાન ! મને માફ કરો.’ કહીએ. અણહક્કનો પૈસો ના પડાવી લેવાય. આ મુંબઈ શહેરમાં લોકો ભેળસેળ કરતા નથી ને ? પ્રશ્નકર્તા : વેપારીઓ કરે તો છે. દાદાશ્રી : તે કોઈ ઓળખાણવાળો હોય તેને ચેતવજે કે ‘ચાર પગવાળા થવું હોય તો ભેળસેળ કરો.’ નહીં તોય તમે ભૂખે નહીં મરો, તેની અમે ગેરન્ટી આપીએ છીએ. કંઈક સમજવું તો જોઈએ ને ? આપણે કયા દેશના છીએ ? પ્રશ્નકર્તા : ભારત દેશના. દાદાશ્રી : ભારત દેશના આપણે. તે આપણી ‘ક્વૉલિટી’ કઈ છે ? આર્ય પ્રજા ! અને બહારની કઈ કહેવાય ? પ્રશ્નકર્તા : અનાર્ય. (પા.૧૪૬)દાદાશ્રી : આપણે અહીં કોઈ કોઈ માણસ એવા થઈ જાય છે, તો તેમને શું કહે છે ? અનાડી. આર્યપ્રજા એટલે આર્ય આચાર, આર્ય વિચારને આર્ય ઉચ્ચાર. તને મારી વાત ગમે છે ? કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : ગમે છે એટલે બેઠો છું. દાદાશ્રી : તું જૂઠું. કોઈ દહાડો બોલે છે કે ? પ્રશ્નકર્તા : બોલું છું. દાદાશ્રી : જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન થાય. દાદાશ્રી : આપણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય. પ્રશ્નકર્તા : સામાને ખબર પડતી નથી એમ સમજીને બોલે. દાદાશ્રી : હા, પણ વિશ્વાસ ઊઠી જાય એટલે માણસની કિંમત ખલાસ ! તેં ચોરી કોઈ દિવસ કરેલી કે ? પ્રશ્નકર્તા : ના, નથી કરી. દાદાશ્રી : નથી કરી ? તને ચોરી કરવાનું ગમતું નથી ? પ્રશ્નકર્તા : ગમે તો ખરું પણ ડર લાગે ને ! ભૂખ લાગી ? ઓલવો !દાદાશ્રી : તું પેટમાં ખાવાનું નાખે છે તે શા માટે નાખે છે ? પ્રશ્નકર્તા : ભૂખ સંતોષવા. દાદાશ્રી : તને ભૂખ લાગે છે તે ઘડીએ મહીં પેટમાં લાગે છે કે ઓલવાય છે ? (પા.૧૪૭)પ્રશ્નકર્તા : ભૂખ તો લાગે જ ને ? દાદાશ્રી : ઓલવાતી નથી ? પ્રશ્નકર્તા : ના, ખાધા પછી ઓલવાઈ જાય. દાદાશ્રી : હા, એટલે ભૂખ એ અગ્નિ જ કહેવાય ને ? પેટમાં અગ્નિ લાગે ત્યારે શું ખાય છે ? આ મોટરનો ખોરાક તો પેટ્રોલ છે અને આપણે ઘી-તેલનું ઈંધણ છે. તને ભૂખ એકલી લાગે છે કે તરસ હઉ લાગે છે ? પ્રશ્નકર્તા : તરસ હઉ લાગે ને ? દાદાશ્રી : એટલે તરસ પણ મહીં સળગે છે એમ ને ? તું એને પાણી રેડું ત્યારે એ ઓલવાય ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તને થાક હઉ લાગે કે ? પ્રશ્નકર્તા : હા, થાકેય લાગે. દાદાશ્રી : થાક લાગે એટલે કલાકેક આરામ કરે. નીંદ લાગે કે ? પ્રશ્નકર્તા : હા, લાગે છે. દાદાશ્રી : એટલે આ બધું લાગે છે. ભગવાને શું કહ્યું’તું કે આ મનુષ્યનો અવતાર લાગતું ઓલવવા માટે છે. ત્યારે આપણે કહીએ, ‘સાહેબ લાગતું ઓલવી નાખ્યું. હવે બીજું મારે શું કરવાનું ?’ ત્યારે ભગવાન કહે કે, ‘તમે તમારે મારું નામ દીધા કરો ને છૂટવાની તૈયારીઓ કરો.’ હિન્દુસ્તાનમાં આર્યપ્રજા તરીકે જન્મ્યો માટે છૂટવાને લાયક થયો. એક જણને મેં પૂછયું કે તારી પોળ તો બહુ શાહુકારોની છે, તે ચોરીઓ થતી નહીં હોય ! ત્યારે એણે કહ્યું કે જો આ સામેની પોલીસચોકી ઉઠાવી જુઓ. પછી અમારાં આડોશી-પાડોશી સંડાસમાં લોટો હોય તેય (પા.૧૪૮)ના રહેવા દે ! એટલે તેં કહ્યું એના જેવું, બીકના માર્યા ! કોઈ બીક ના હોય તો વાંધો નહીં ને ? પ્રશ્નકર્તા : તો વાંધો ના આવે. દાદાશ્રી : તું ચોરી લાવે, તને ગમતી હોય તે ચીજો ? પ્રશ્નકર્તા : ગમતી ચીજો તો લઈ આવું. દાદાશ્રી : સોનાની લગડીઓ પડી હોય તો લાવે કે ? પ્રશ્નકર્તા : એવું હોય તો બધાનું મન લલચાઈ જાય. દાદાશ્રી : આ લોકોનાં મન એવાં ‘સ્ટેડી’ નથી. આ તો ભયનાં માર્યાં સીધાં રહે એવાં છે. આ કવિરાજે એક દહાડો મને કહ્યું કે આ નાલાયકોને માટે સરકાર ને લશ્કર ને પોલીસવાળા રાખવા પડે છે અને એનો કર છે તે લાયક પાસેથી લે છે ! એવા ઘણા લોકો હશે કે જેમને માટે પોલીસવાળાની જરૂર ના હોય. અથડામણથી અટકણમેજિસ્ટ્રેટ સાહેબ ઘેર બાઈ જોડે બબ્બે મહિનાથી બોલતા ના હોય ને ત્યાં કોર્ટમાં સાત વરસની સજા ઠોકી બેસાડે ! અલ્યા, મોઢાં ચઢાવીને ઘરમાં શું ફરો છો ? નિકાલ કરી નાખો ને. મારે કોઈ જોડે સહેજેય મતભેદ થયો નથી. શાથી એમ હશે ? પ્રશ્નકર્તા : મતભેદ થાય એવું બોલીએ, ચાલીએ ને વર્તીએ નહીં, તો મતભેદ ના પડે. દાદાશ્રી : મતભેદ એટલે શું ? અથડામણ. આમ સીધેસીધા જતા હોય અને વચ્ચે ઇલેક્ટ્રિકનો થાંભલો આવતો હોય તો તમારે સમજવું જોઈએ. આપણે એને કહીએ કે તું કોણ વચ્ચે અટકાવનાર, તો ? સામે ભેંસનો પુત્ર-પાડો આવતો હોય તો આપણે શું એને એમ કહેવું કે ખસી જા, ખસી જા ! (પા.૧૪૯)પ્રશ્નકર્તા : એ ના ચાલે. દાદાશ્રી : ત્યાં આપણે ખસી જવું જોઈએ. સાપ આવતો હોય તો ? પ્રશ્નકર્તા : આ તો જાનવરોની દુનિયા થઈ. દાદાશ્રી : આ જે જાનવરો કહું છું તેવાં મનુષ્યોય છે. પ્રશ્નકર્તા : એ પારખવાં કેવી રીતે ? દાદાશ્રી : સમજાય આપણને, એનાં શિંગડાં ઊંચાં કરે તો આપણે ના સમજી જઈએ કે આ પાડો છે ? એટલે આપણે ખસી જવું. અમને તો આવતાં પહેલાં ખબર પડી જાય. સુગંધી ઉપરથી ઓળખું એને. કેટલાક પથ્થર જેવા પણ હોય છે, થાંભલા જેવાય હોય છે. પ્રશ્નકર્તા : ઘણાંને મોઢાં ઉપરથી ખબર પડી જાય ને ? દાદાશ્રી : હા, ખરું. પણ જેને મોઢાં ઉપરથી ખબર પડે તેને પોતાનું થર્મોમીટર કેટલું ‘કરેક્ટ’ રાખવું પડે ? પ્રશ્નકર્તા : પૂર્વગ્રહરહિત રાખવું પડે. દાદાશ્રી : પૂર્વગ્રહરહિત જો માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય. કાલે તમે મારી જોડે ઝઘડો કરી ગયા હો ને તો તમે બીેજે દહાડે આવો તો અમે કાલની વાત બાજુએ મૂકી દીધેલી હોય. પૂર્વગ્રહ રાખું તો એ મારી ભૂલ છે, પછી ભલેને તમે બીજે દહાડે એવા નીકળો તેનો વાંધો નથી. આ પૂર્વગ્રહને લઈને તો જગત માર ખાય છે અને તેથી તેને લઈને દોષો બેસે છે. તમે છો એવા માનતા નથી ને નથી એવા માનો છો ! તમે સામાને ગધેડો કહો તેની સાથે ભગવાનને હઉ ગધેડો કહો છો. તેથી સામાને ગધેડો કહેતાં પહેલાં વિચાર કરજો. અથડામણ હોવી જ ના જોઈએ. એનો ઉકેલ લાવવો જોઈએ. ઉકેલ વગર બેસી રહેવું એ ‘વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી’ છે. (પા.૧૫૦)સ્થિતપ્રજ્ઞ ક્યારે કહેવાય ?એક પંડિતે મને પૂછયું, ‘સ્થિતપ્રજ્ઞ એટલે શું ?’ હવે હું કંઈ પંડિત નથી. હું જ્ઞાની છું. તે પંડિતને વગર પારાએ ગરમી ચઢેલી હતી. મેં તેમને સમજાવ્યું કે તમે જ્યારે પારા વગરના થશો, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશા થશે ! માટે આ પારો ઉતારો. પંડિત એ તો વિશેષણ. ઘણાં જણને હોય. પંડિત તો ઘણા હોય, એક દહાડો વિશેષણ વગરના થાઓ. હું વિશેષણ વગરનો થયેલો છું. એટલે લોકો મને જ્ઞાની કહે છે. બાકી હું તો જ્ઞાનીય નથી. હું તો વિશેષણ વગરનો ‘નિર્વિશેષ પુરુષ’ છું ! વિચારે કરીને કર્મો કપાય ?પ્રશ્નકર્તા : કહેવાય છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઉડાડી શકાય તેમ છે ! દાદાશ્રી : હા, પણ તે વિચાર ‘જ્ઞાની પુરુષ’ની પાસેથી હોવા જોઈએ, પોતાના વિચારથી નહીં. વિચારો બે પ્રકારના : એક સ્વચ્છંદી વિચારો અને બીજા ‘જ્ઞાની પુરુષ’ની પાસેના વિચારો. ‘જ્ઞાની પુરુષ’ને વારેઘડીએ દેખાડવા કે આવા વિચાર આવે છે, ત્યારે એ કહે કે આ ‘કરેક્ટ’ છે. તો આગળ ચાલવા દેવું, નહીં તો સ્વચ્છંદી વિચાર હોય તો ક્યાંય પહોંચી જાય. વિચારથી બધું ઊડી જાય. મારું બધું વિચારે કરીને ઊડી ગયું છે, આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવો પરમાણુ નથી કે જેનો મેં વિચાર કર્યો ના હોય ! કર્મોની નિર્જરા-જ્ઞાનીઓની રીત !પ્રશ્નકર્તા : જ્ઞાની હોય તે મોહનીય કર્મના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો એ કર્મ ઊડી જાય ને ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધાંય કર્મ ઊડી જાય. બધો ચારિત્રમોહ ઊડી જાય. ખાલી શુદ્ધ ઉપયોગ જ રહે. ‘હું શુદ્ધાત્મા છું’ (પા.૧૫૧)એનો ઉપયોગ રહેવો જોઈએ. આય શુદ્ધાત્મા છે, તેય શુદ્ધાત્મા છે. ગધેડાં, કૂતરાં, બિલાડાં, બધાં શુદ્ધાત્મા છે. ગજવું કાપનારોય શુદ્ધાત્મા છે. આ દુષમકાળના જીવોની સમજણમાં મોહ અને મૂર્છા ભરેલાં છે. તેથી કૃપાળુદેવે આ કાળના જીવોને હત્પુણ્યશાળી કહ્યા ! તે લોકો આખો દહાડો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ કર્યા કરે ! બાપ-દાદા કરતા હતા તે રૂઢિ ચાલી આવતી હોય તે પ્રમાણે ધર્મ કરે. પણ તે સમજણપૂર્વકનું ના હોય. દરેકને પોતપોતાના ધર્મના પુદ્ગલનું આવરણ હોય. જૈનને જૈન પુદ્ગલ ને વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ મોક્ષે ના જવા દે. એ પુદ્ગલની નિર્જરા થશે તો કલ્યાણ થશે. મોક્ષમાં જૈન પુદ્ગલેય કામ લાગે નહીં ને બીજાં પુદ્ગલેય કામ લાગે નહીં. પ્રત્યેક પુદ્ગલનો નિકાલ કરવો પડશે. પ્રશ્નકર્તા : મોક્ષના દ્વારમાં તો પુદ્ગલને દાખલ જ ક્યાં થવાનું છે ? ત્યાં તો આત્માને જ દાખલ થવાનું છે. દાદાશ્રી : શુદ્ધાત્મપદ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં દાખલ થઈ શકાય એમ છે. બીજા બધામાંથી રાગ-દ્વેષ ઊડી જાય એટલે રહ્યો તે ચારિત્રમોહ કહેવાય. એની નિર્જરા થઈ જાય કે મોક્ષ થઈ જાય ! પ્રશ્નકર્તા : કર્મની નિર્જરા કેવી હોય ? દાદાશ્રી : તમે શુદ્ધાત્મામાં હો તો બધી કર્મની નિર્જરા જ છે - શું નિર્જરા થાય, એનું તમારે શું કામ છે ? રોજ સંડાસમાં તમે જો જો કરો છો કે આજે પીળો થયો કે કાળો થયો ? આય પણ એક નિર્જરા જ છે, દેહની એક જાતની નિર્જરા છે. પ્રશ્નકર્તા : એ બરોબર છે, પણ નિર્જરા પૂરી ક્યારે થાય ? દાદાશ્રી : પૂરી કરીને તમારે શું કામ છે તે ? પ્રશ્નકર્તા : પછી ખબર પડે ને કે હવે મોક્ષ જલદી આવી ગયો. દાદાશ્રી : એમ ઉતાવળ કરવા જાય ત્યાં બીજું ઝાંખરું વળગી (પા.૧૫૨)જાય ! આ ઉતાવળનો માર્ગ નથી. આ તો જાગૃતિ રાખવાનો માર્ગ છે. શુદ્ધ ઉપયોગમાં રહો, તેનાથી એની મેળે જ નિર્જરા થયા જ કરશે. તમારે કશું જ કરવાનું નથી. તેથી તો અમે પણ એમ કહીએ છીએ કે અમારે મોક્ષે જવાની ઉતાવળ નથી. અમારે શેને ઉતાવળ હોય ? અહીં જ અમને મોક્ષ વર્તતો હોય, ત્યાં હવે બીજો ક્યો મોક્ષ જોઈએ છે ? અને પેલો મોક્ષ તો કાયદેસરનો છે. એ તો એની મેળે બોર્ડ ઉપર આવી જાય કે ત્રણ ને ત્રણ સેંકડે થશે ! આપણે ઉતાવળ કરવાની શી જરૂર ? પ્રશ્નકર્તા : મોક્ષ એ નિશ્ચિત જ છે ? દાદાશ્રી : ના, નિશ્ચિત ના માની લેશો. નિશ્ચિત હોય તો તો પછી બધાય નિરાંતે સૂઈ રહે. એવું નથી. શુદ્ધ ઉપયોગે અબંધ દશા‘તમે શુદ્ધ ઉપયોગમાં જ રહો’ એટલું અમે કહેવા માગીએ છીએ. બીજું કશું વિચારશો નહીં. આ દિવસ નથી કે હમણાં પૂરું થઈ જાય ! આ તો સંસાર છે. તમે તમારે ઉપયોગમાં રહેશો કે બધો હિસાબ છૂટી જશે ! આપણે વિચારમાં પડીએ કે ‘ક્યારે પૂરું થશે ?’ એટલે બીજું ભૂત પેસી જશે. આપણે શેને માટે ઉતાવળ છે ? અમારે ચારિત્ર મોહ બહુ જૂજ હોય અને તમારે ઢગલાબંધ હોય. પણ તમારેય દહાડે દહાડે ઓછો જ થતો જાય છે. ચારિત્રમોહ જાય છે. એ મુક્તિ આપીને જ જાય છે. પાંચ લાખ ચારિત્રમોહના મહેમાન હતા, એમાંથી હમણાં પાંચસો ગયા, તે પાંચસો ઓછા થયા, પછી ફરી પાંચસો ગયા, ફરી પાંચસો ગયા એમ ઓછા જ થતા જાય છે. પછી પાંચ લાખના ચાર લાખ થશે. પછી ત્રણ લાખ, પછી બે લાખ એમ કરતું કરતું ખલાસ થઈ જવાનું. આપણે પછી ગણ્યા કરીએ કે કેટલા રહ્યા, કેટલા રહ્યા તે આપણે ગણીને શું કામ છે ? શુદ્ધ ઉપયોગમાં રહ્યા કે સંવર સાથે નિર્જરા થયા જ કરે. (પા.૧૫૩)પ્રશ્નકર્તા : આનો અર્થ એમ કે જેટલા શુદ્ધ ઉપયોગમાં વધારે રહો એટલી વધારે નિર્જરા થાય ? દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ જ કામ કરવાનું છે. તમારો ધર્મ શુદ્ધ ઉપયોગ છે. એ જેટલો ચૂકો એટલો તમને માર પડે અને અમે જે પાંચ આજ્ઞાઓ આપી છે તે શુદ્ધ ઉપયોગમાં રાખવાના હેતુ માટે જ છે. પાંચ આજ્ઞા પાળી એનું નામ જ શુદ્ધ ઉપયોગ. એમાંથી એક પાળીએ તોય એ શુદ્ધ ઉપયોગ જ છે. પાંચમાંથી એક તમારાથી ના પળાય ? પ્રશ્નકર્તા : દાદા, આમાં એવું છે ને એક પાળો ને તોય પાંચે પળાય જાય છે. દાદાશ્રી : તે તો ઊલટું સારું ને ? એક પાળી તો પાંચનો લાભ થાય. આ તો બહુ સહેલું ને સરળ છે. કશી મુશ્કેલી નથી. માથે કોઈ વઢનાર નથી. નહીં તો માથે પેલા ગુરુ મહારાજ હોય તે તો તેલ કાઢી નાખે ! સવારથી ઊઠ્યા ત્યારથી આપણને ઝાપટ ઝાપટ કર્યા કરે ! કર્મનું આયોજન - ક્રિયા કે ધ્યાન ?પ્રશ્નકર્તા : હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય તો એ કર્મ ને કારણનું આયોજન કેવી રીતે સમજવું ? દાદાશ્રી : એ આયોજન આપણી ક્રિયા ઉપર આધારિત નથી હોતું. આપણા ધ્યાન ઉપર આધાર રહે છે. તમે ચંદુભાઈના દબાણથી પાંચ હજાર રૂપિયા ધર્માદામાં આપો તે તમે આપો ખરા, પણ તમારું ધ્યાન વાસ્તવિક નહોતું. પ્રશ્નકર્તા : બહુ ઇચ્છા નહોતી. દાદાશ્રી : ના, ઇચ્છા નહીં એમ નહીં. ઇચ્છાની જરૂર જ નથી. ઇચ્છામાં કર્મ બંધાતાં નથી. ધ્યાન ઉપર આધાર છે. ઇચ્છા તો હોય કે ના પણ હોય. પૈસા આપતી વખતે મનમાં એમ હોય કે આ ચંદુભાઈ (પા.૧૫૪)ના હોત તો હું આપત જ નહીં. એટલે ઊલટું તમે દાન આપીને જનાવરમાં જશો - આ રૌદ્રધ્યાન બાંધ્યું તેથી. પ્રશ્નકર્તા : ધ્યાન શેના પર આધારિત છે ? દાદશ્રી : ધ્યાન તો તમારા ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે. તમને જે જ્ઞાનનું ‘ડેવલપમેન્ટ’ થયેલું છે, તેના પર આધાર રાખે છે. તમે ખરાબ કરશો પણ અંદર ધ્યાન ઊંચું હોય તો તમને પુણ્ય બંધાશે. શિકારી હરણું મારે, પણ મહીં ખૂબ પસ્તાવો કરે કે ‘આ મારે ભાગે ક્યાં આવ્યું ? આ બૈરાં-છોકરાં માટે મારે આ નાછૂટકે કરવું પડે છે !’ તો તે ધ્યાન ઊંચું ગયું કહેવાય. ‘નેચર’ (કુદરત) ક્રિયા નથી જોતી. તે વખતનું તમારું ધ્યાન જુએ છે. ઇચ્છા પણ નથી જોતી. કોઈ માણસે તમને લૂંટી લીધા તે વખતે તમારા મનના ભાવો બધા રૌદ્ર થઈ જાય. અંધારામાં આવા ભાવો થાય ને શુદ્ધ પ્રકાશ હોય ત્યાં કેવા ભાવ થાય ? ‘વ્યવસ્થિત’ કહીને ભાવાભાવ થયા વગર આગળ ચાલવા માંડે ! ધર્મ, અર્થ, કામ અને મોક્ષપ્રશ્નકર્તા : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ જીવનનાં ચાર પદો જરા સમજાવો. દાદાશ્રી : અર્થ એટલે આપણા લોકો સાંસારિક સ્વાર્થ કહે છે તે. ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ એ અર્થ છે. ઠેઠ પરમાત્મા સુધી અર્થ રહે છે. પરમાર્થનો અર્થ શો ? આત્મા સંબંધી જ જ્યાં સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ જ નથી, આત્મા સિવાય સંસાર સંબંધી કોઈ સ્વાર્થ જ નથી એ પરમાર્થ કહેવાય. અને આત્મા સંબંધી સ્વાર્થી તો ‘જ્ઞાની પુરુષ’ હોય. અર્થ પછી જે સ્વાર્થમાં લઈ જાય છે તે વખતે તે સકામમાં પરિણામ પામે છે અને જ્યારે અર્થ પરમાર્થમાં જાય છે ત્યારે નિષ્કામમાં પરિણામ (પા.૧૫૫)પામે છે. એનો એ જ કામ મોક્ષે લઈ જાય છે ને એનો એ જ કામ સંસારમાં રખડાવે છે. ધર્મમાંય એનો એ જ ધર્મ સંસારમાં રખડાવે છે ને એનો એ જ ધર્મ મોક્ષે લઈ જાય છે. પ્રશ્નકર્તા : ધર્મની વ્યાખ્યા શું ? દાદાશ્રી : આ સંસારમાં રખડાવે એ શુભ ધર્મ છે અને મોક્ષે લઈ જાય એ શુદ્ધ ધર્મ છે. ધર્મનું નામ કેમ પડ્યું ? ત્યારે કહે કે અધર્મ હતો માટે ધર્મ પડ્યું. એટલે આ ધર્માધર્મ છે. સંસારના ધર્મિષ્ઠ પુરુષો શું કરે ? અધર્મના વિચારો આવે તેને આખો દહાડો ધક્કા માર માર કરે. અધર્મને ધક્કા મારવા એને ધર્મ કહ્યો. પ્રશ્નકર્તા : ધર્મનું પાલન કરે તો અધર્મ ‘ઓટોમેટિકલી’ નીકળી જાય ને ? દાદાશ્રી : ધર્મ બે પ્રકારના છે. એક સ્વાભાવિક ધર્મ અને બીજો વિશેષ ધર્મ છે. જ્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે સ્વાભાવિક ધર્મમાં આવે. સ્વાભાવિક ધર્મ જ ખરો ધર્મ છે, એ ધર્મમાં કશું ‘વીણવાનું’ છે જ નહીં. વિશેષધર્મમાં બધું વીણવાનું છે. લૌકિક ધર્મ કોને કહેવાય ? દાન આપવું, લોકોની ઉપર ઉપકાર કરવો, ‘ઓબ્લાઇજિંગ નેચર’ કરવો, લોકોની સેવાઓ કરવી, એ બધાને ધર્મ કહ્યો. એનાથી પુણ્ય બંધાય અને ગાળો ભાંડવાથી, મારામારી કરવાથી, લૂંટી લેવાથી પાપ બંધાય. પુણ્ય અને પાપ જ્યાં છે, ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય-પાપથી રહિત સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય-પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેય પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે એ ‘રિયલ’ ધર્મ છે. એટલે આ ‘રિયલ’ અને ‘રિલેટિવ’, બન્ને ધર્મ જુદા છે. અર્થ સાંસારિક સ્વાર્થમાં પરિણમે તેનું નામ અધર્મ અને આત્મિક (પા.૧૫૬)સ્વાર્થમાં પરિણામ પામે તેનું નામ ધર્મ કહેવાય. એવું જ સકામ અને નિષ્કામનું છે. પ્રશ્નકર્તા : ધર્મ વગર કોઈ જીવ રહી શકે ખરો ? દાદાશ્રી : કોઈ જીવ ધર્મની બહાર હોતો જ નથી. ધર્મમાં હોય કે અધર્મમાં હોય, એ સિવાય ના હોય. પ્રશ્નકર્તા : કેટલાક ઈશ્વરને માનતા નથી ને ? દાદાશ્રી : આ જગતમાં ઇશ્વરને ના માનવાવાળાઓને આપણે નાસ્તિક કહેવા નહીં. એમને નાસ્તિક કહેવું એ ભયંકર ગુનો છે. એનું શું કારણ ? જેને ‘હું છું’ એવું પોતાના અસ્તિત્વનું ભાન છે એ બધા આસ્તિક કહેવાય અને ધર્મ બધા જુદી જુદી રીતે હોય છે. કોઈ નીતિનું પ્રમાણ માને, કોઈ સત્યનું પ્રમાણ માને, કોઈ મનુષ્યોને બચાવવાનું પ્રમાણ માને, એ પણ એક ધર્મનું પગલું જ છે. કંઈ મંદિરો બંધાવવાં એનું નામ જ ધર્મ એવું નથી. જે પૂર્ણ નીતિપરાયણ છે તે કોઈ દહાડો મંદિરમાં દર્શન કરવા ના જાય તોય ચાલે. તેને બીજા કશાની જરૂર નથી. પ્રામાણિકતા તો મોટામાં મોટું ધર્મનું સાધન છે. પ્રામાણિકતા ને નીતિ જેવું મોટું બીજું ધર્મમાં સાધન જ નથી. આ તો નીતિ, પ્રામાણિકતા જેવું કશું નથી રહેતું, એટલે પછી પોતે ધર્મમાં જઈને, મંદિરમાં જઈને, ‘હે પ્રભુ ! હું કપડું ખેંચીને વેચું છું પણ મને માફ કરજો’, એમ કહે. આ વેપારીઓ કપડું વેચતી વખતે ખેંચે છે તે શા માટે ખેંચે છે ? હું એમને પૂછું છું કે આ ભગવાનની ભક્તિ કરો છો ને પાછા આ કપડું શા માટે ખેંચો છો ? ત્યારે એ કહે કે, ‘બધા ખેંચે છે એટલે હુંય ખેંચું છું.’ મેં કહ્યું ‘બધા તો કૂવામાં પડશે, તમે પડશો ? તમે ખેંચો છો શા માટે ?’ ત્યારે વેપારી કહે, ‘ચાલીસ મીટર કાપડ આપીએ તેમાં ખેંચી ખેંચીને આપીએ તો પા મીટર વધે છે !’ અલ્યા, આ ખેંચવાની કસરત શા માટે કરે છે ? અલ્યા, આ તો વારેવારે તું રૌદ્રધ્યાન કરે છે ! તારી શી દશા થશે ? મહાવીરની સભામાં બેસતાં મેં તને જોયેલો હતો. મહાવીરની સભામાં બેઠેલા તે લોકો જ અહીં આગળ અત્યારે કપડાં ખેંચાખેંચ કરે ને તોય આ લોકોને મોક્ષે જવાનો વારો આવતો નથી. (પા.૧૫૭)આ તો ચટણી હારુ બેસી રહ્યા છે. આખા થાળ માટે કંઈ આ લોક બેસી નથી રહ્યા. પ્રશ્નકર્તા : સત્ય, અહિંસા, પ્રામાણિકતા આ બધા જે દિવ્ય ગુણો છે. એમાંથી એકાદ ગુણની ઉપાસના કરે તો એવું ખરું કે બાકીના ‘ઓટોમેટિક’ આવી જાય ? દાદાશ્રી : એક પકડી લે એટલે બધા આવી જાય. એકને પકડી બેસી જાય એટલે બધું જ આવી જાય ! છૂટવાનો કામીપ્રશ્નકર્તા : શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે ? તે કેવી રીતે ? દાદાશ્રી : આપણે એક સ્ટીમરમાં બેઠા, પછી કોઈને મનમાં એવો વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઊતરી પડીએ અને શ્રદ્ધા બેસે તો ? તો પછી બેસી રહો કે ના બેસી રહો ? કેમ લાગે છે તમને ? શ્રદ્ધા ના બેસે તો તરત જ ઊઠી જાય. પ્રશ્નકર્તા : ઘણી વાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ, પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે. દાદાશ્રી : એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ છે. વિશ્વાસમાં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં ના આવે. પ્રશ્નકર્તા : મારે એવું થયું છે. દાદાશ્રી : શ્રદ્ધા ને વિશ્વાસ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા ‘બિલીફ’ને આધીન છે. વિશ્વાસ આવે ત્યાં એનો વિશ્વાસઘાત પણ થઈ શકે ! આ જગત જ આખું ‘બિલીફ’ના આધારે ચાલી રહ્યું છે. પણ આ જગતમાં દુઃખ કેમ છે ? કારણ કે એને ‘રોંગ બિલીફો’ મળી છે અને જો ‘રાઈટ બિલીફ’ હોત તો આ જગતમાં દુઃખ હોત જ નહીં ! જીવ માત્ર બિલીફ, માન્યતા ઉપર જ છે. આમાં મનુષ્ય સિવાય ઇતર જીવો (પા.૧૫૮)તો આશ્રિત જ છે. દેવલોકો, જાનવર બધાં આશ્રિત જ છે. મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. પ્રશ્નકર્તા : આ મનુષ્યો નિરાશ્રિત છે એ કેવી રીતે ? આ દેવલોકો આશ્રિત છે એ કેવી રીતે ? દાદાશ્રી : મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. મનુષ્ય સિવાય બીજો કોઈ જીવ, દેવલોકો પણ, ‘હું કર્તા છું’ એવું ભાન ધરાવતો નથી અને જ્યાં કર્તા થયો ત્યાં ભગવાનનું આશ્રિતપણું છૂટી જાય છે. ભગવાન શું કહે છે ? ‘ભાઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો !’ પછી ભગવાનને ને તમારે શી લેવાદેવા ? તમે પાછા થાકો, કંટાળો એટલે મહાવીર ભગવાનની મૂર્તિ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ બેસીને માથાં ફોડો છો. પછી ત્યાં કોઈ બાપોય આશ્રિત તરીકે સ્વીકારે નહીં. કર્તાપણાની ‘રોંગ બિલીફ’ તૂટશે તો જ તમે આશ્રિત છો, સર્વસ્વ છો ! પણ ‘રોંગ બિલીફ’ છૂટે નહીં ને ? પ્રશ્નકર્તા : ‘દાદા’ છોડાવે ને ? દાદાશ્રી : એ તો છૂટવું હોય તેને છોડાવે. જેને છૂટવું જ ના હોય તેને શી રીતે છોડાવે ? કારણ કે ભગવાનને ઘેરેય કાયદો છે. ભગવાનનો શો કાયદો છે ? જેને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય બાંધતા નથી અને જેને બંધાવું હોય તેને ક્યારેય છોડતા નથી ! હવે જગતમાં લોકોને પૂછવા જઈએ કે તમારે બંધાવું છે કે છૂટવું છે ? પ્રશ્નકર્તા : આપણને કઈ રીતે સમજાય કે બંધાવું છે કે છૂટવું છે ? દાદાશ્રી : બંધાવાનાં કારણોનું સેવન કરે છે કે છૂટવાનાં કારણોનું સેવન કરે છે તેના પરથી સમજાય. છૂટવાનાં કારણો સેવે તેને છૂટવાના સંયોગ મળે. ત્યાં એને ભગવાન ‘હેલ્પ’ જ કર્યા કરે છે અને જે બંધાવાનાં કારણો સેવે છે તેનેય ભગવાન ‘હેલ્પ’ કર્યા કરે છે. ભગવાનનું તો ‘હેલ્પ’ જ કરવાનું કામ ને ! (પા.૧૫૯)પ્રશ્નકર્તા : ‘હેલ્પ’ કરે એમાં ભગવાનનો પક્ષપાત ખરો ? મદદ કરવા જેટલો પક્ષપાત ખરો ? દાદાશ્રી : મદદ ભગવાન પોતે કરતા નથી, આ કુદરતી રચના છે બધી-સ્વતંત્ર; ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. કારણ કે જીવ માત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કુદરત એની હેલ્પમાં જ હોય. પોતે કહેશે કે મારે ચોરી કરવી છે તો ચંદ્ર, તારા, બધું હાજર હોય. ભગવાન તો આમાં ખાલી ‘લાઈટ’ આપવાનું જ કામ કરે છે. આમાં મૂળ ચોરી કરવાનો ભાવ પોતાનો છે. કુદરત તેને તેની પુણ્યૈ જ્યાં ખર્ચાવી હોય ત્યાં હેલ્પ કરે છે, એટલે કે એને બધા સંયોગો ભેગા કરી આપે છે. ભગવાન આમાં ફક્ત ‘લાઈટ’ જ આપ્યા કરે છે. ભક્તિ, યોગ ને ધ્યાનપ્રશ્નકર્તા : ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે એનો નાશ કરવા માટે ‘હું’ જન્મ લઉં છું, તે ‘હું’ કોણ ? દાદાશ્રી : એને જ આત્મા કહે છે, હું એટલે કૃષ્ણ નહીં. ‘હું’ એટલે જ આત્મા. નિયમ એવો છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે ત્યારે કોઈ મહાન પુરુષનો જન્મ થઈ જ જાય. એટલે યુગે યુગે મહાન પુરુષનો જન્મ થાય છે. પ્રશ્નકર્તા : એવું કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી, તેનું શું કારણ ? દાદાશ્રી : ભગવાન રાસલીલા રમ્યા જ નથી. તમને કોણે કહ્યું કે ભગવાન રાસલીલા રમ્યા હતા ? એ તો બધી વાતો છે. કૃષ્ણ તો મહાન યોગેશ્વર હતા. એમને રાસલીલામાં લોકોએ લાવી દુરુપયોગ કર્યો. કૃષ્ણનું બે રીતે આરાધન કરવામાં આવે છે. બાળમંદિરના મનુષ્યો છે, એમણે બાળકૃષ્ણનાં દર્શન કરવાં અને વૈકુંઠમાં જવું હોય એણે યોગેશ્વર કૃષ્ણનાં દર્શન કરવાં. આ બે રીતોમાં તમારે શું જોઈએ ? પ્રશ્નકર્તા : ભક્તિ, ધ્યાન એ નશો છે ? (પા.૧૬૦)દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો પછી નશાવાળું જીવન જીવવું સારું કે કુદરતી ! દાદાશ્રી : કુદરતી જીવન જીવવાનું હોય તો બહુ જ સરસ. આ કુદરતી બધું રાખ્યું છે જ ક્યાં ? આ કુદરતે બહુ જ સુંદર કર્યું છે ! કુદરતી થાય તો જ પ્રગતિ છે, નહીં તો પ્રગતિ નથી ! પ્રશ્નકર્તા : કુંડલિનીનું જે ધ્યાન કરીએ છીએ તે ઊઘાડી આંખે કરીએ તે સારું કે બંધ આંખે કરીએ તે સારું ? દાદાશ્રી : એવું છે કે ધ્યાન તમે ઊઘાડી આંખે કરશો તોય બંધન છે ને બંધ આંખે કરશો તોય બંધન છે. કુંડલિનીનું ધ્યાન કરવાનું નથી. ધ્યાન પોતાના સ્વરૂપનું કરવાનું છે. કુંડલિની તો એમાં સાધન છે. સાધનનો ઉપયોગ લેવાનો છે. પોતાના સ્વરૂપની રમણતા ઉત્પન્ન થઈ ગઈ એનું નામ મુક્તિ. પ્રશ્નકર્તા : સાંખ્યયોગ કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : એકલું સાંખ્ય એ એક પાંખવાળું કહેવાય. તેનાથી ઊડી ના શકાય. એટલે સાંખ્ય ને યોગ, એ બે પાંખે ઉડાય ! યોગ વગર, માનસિક પૂજા વગર આગળ વધાય શી રીતે ? માનસિક પૂજા બધું ગોઠવ્યું છે, તે કેવી સરસ ગોઠવણી છે ! આ સાંખ્ય એટલે જ્ઞાન જાણવું જોઈએ. દેહના ધર્મ, મનના ધર્મ, બુદ્ધિના ધર્મ, આત્માના ધર્મ એ બધું જાણવું જોઈએ. એનું નામ સાંખ્ય કહેવાય અને યોગ વગર સાંખ્ય પામી શકાય નહીં. માટે યોગ, અહીં માનસિક પૂજા (ગુરુ મહારાજની) કે જેના આધારે તમે ચઢવા માગો છો, એનો આધાર લેવો પડે, અવલંબન લેવું પડે, તો આગળ કામ વધે. પ્રશ્નકર્તા : શિવની ઓળખાણ શી છે ? શિવ ક્યાં છે ? દાદાશ્રી : કલ્યાણ સ્વરૂપ થયેલો હોય, તે પુરુષ શિવ કહેવાય. પ્રશ્નકર્તા : નિર્વિચાર અને નિર્વિકલ્પ, એ બેમાં ફેર શો ? (પા.૧૬૧)દાદાશ્રી : બહુ ફેર. નિર્વિચાર એટલે વિચારરહિતપણું અને નિર્વિકલ્પ એટલે વિકલ્પરહિતપણું. વિચાર ખલાસ થઈ ગયા એટલે શૂન્ય થઈ ગયો. વિચારશૂન્ય બાવા થઈ જાય, કેટલાક માણસોય થઈ જાય. વિચારો કરવાનું બંધ રાખે પછી વિચારોનું ધ્યાન ના આપે. એટલે પછી દહાડે દહાડે વિચારશૂન્ય એટલે પથરા જેવો થઈ જાય. આમ ઉપરથી રૂપાળો બંબ જેવો દેખાતો હોય, શાંત મૂર્તિ લાગે, પણ મહીં જ્ઞાન ના હોય ! પ્રશ્નકર્તા : નિર્વિકલ્પનો અર્થ કેટલાક નિર્વિચાર કરે છે. દાદાશ્રી : ‘જ્ઞાની’ સિવાય નિર્વિકલ્પ હોય જ નહીં. નિર્વિચારી ઘણા હોઈ શકે. વિચારશૂન્યતામાંથી ફરી પાછી એને વિચારની ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે. મન વિચાર કરતું બંધ થઈ જાય એટલે બધું ‘સ્ટેન્ડસ્ટીલ’ થઈ જાય. એટલે કૃપાળુદેવે એવું કહ્યું છે કે ‘કર વિચાર તો પામ’. એટલે વિચાર તો ઠેઠ સુધી જોઈશે અને ‘પામ્યા’ પછી વિચારની જરૂર નથી પાછી. પછી વિચારો જ્ઞેય થાય અને પોતે જ્ઞાતા થયો. પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર તો હતા જ, એવો અર્થ થાય ને ? દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના. પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય. એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ ત્યારે બધા ‘જે જે’ કરવા આવે છે ને. ‘જે જે’ કરીને આગળ ચાલવા માંડે. એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય, પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગાએ અટકે નહીં. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે ! અમને પણ વિચાર હેરાન ના કરે ! વિચાર એ તો મનનો ધર્મ છે. એક વિચાર આવે ને જાય અને કશું અડે નહીં, એને મનોલય જ કહેવાય. મનનું તોફાન ના હોય. મન (પા.૧૬૨)બગીચા જેવું લાગે, ઉનાળામાં ફુવારા ઊડ્યા કરતા હોય એવું લાગે અને નિર્વિકલ્પ તો બહુ ઊંચું પદ છે. કર્તાપદનું ભાન તૂટ્યું એ નિર્વિકલ્પ થયો. દેહાધ્યાસ જાય પછી નિર્વિકલ્પ પદ થાય. પ્રશ્નકર્તા : સમાધિ અને સુષુપ્ત અવસ્થા વિશે કહો. દાદાશ્રી : આજે આપણા દેશમાં જે સમાધિ માને છે તે સુષુપ્ત અવસ્થાને જ સમાધિ કહે છે. કેટલાક મહાત્માઓ મનના ‘લેયર્સ’માં ઊંડા ઊતરી જાય છે. કોઈ બુદ્ધિના ‘લેયર્સ’માં ઊતરી જાય છે. તે વખતે બહારનું ભાન ભૂલે છે. એને લૌકિક સમાધિ કહેવાય. સમાધિ કોનું નામ કહેવાય ? અખંડ જાગૃતિપૂર્વકની સમાધિ એનું નામ સમાધિ ! શરીર ઉપર ધૂળની એક રજકણ પણ પડી હોય તો ખબર પડી જાય, એનું નામ સમાધિ કહેવાય. આપણા લોકો ‘હેન્ડલ’ મારીને સમાધિ કરવા જાય છે. એને સમાધિ ના કહેવાય. એ ‘કલ્ચર્ડ’ સમાધિ કહેવાય. સાચી સમાધિ મને નિરંતર રહે છે. આધિ, વ્યાધિ, ઉપાધિની મહીં પણ સમાધિ રહે, એનું નામ સાચી સમાધિ ! અત્યારે મને જેલમાં લઈ જવા પકડી જાય તોય મારી સમાધિ જાય નહીં ! એની એ જ દશા રહે ! અહીં મુક્ત છે તેમાંય સમાધિ છે, ત્યાં જેલમાંય સમાધિ છે. પ્રશ્નકર્તા : ધ્યાન કરવાથી પ્રકાશનો અનુભવ થાય છે, એ માનસિક હોય છે કે ખરેખર ? દાદાશ્રી : એ પ્રકાશ જ ન હોય. એ તો કલ્પના છે. આ બધી કલ્પનાને જ સત્ય માન્યું છે. હું ૧૭-૧૮ વર્ષનો હતો ત્યારે આંખ દબાવીને મેં એક પ્રયોગ કરેલો. તે મોટો ઝબકારો થયો ને અજવાળું અજવાળું દેખાયું ! હું વિચારમાં પડ્યો કે આ શું થયું ! પછી મને સમજાયું કે આ તો આંખનું લાઈટ જતું રહ્યું. જે ભૌતિક છે એ કોઈ દહાડોય આત્મા થવાનો નથી, જે આત્મા (પા.૧૬૩)છે એ કોઈ દહાડોય ભૌતિક થવાનો નથી. બન્ને નિરાળી જ વસ્તુઓ છે ! પ્રશ્નકર્તા : નિર્ગુણ એટલે શું ? દાદાશ્રી : નિર્ગુણ એટલે જ્યાં આગળ પ્રકૃતિનો એક પણ ગુણ રહ્યો નથી તે અને સગુણ એટલે દેહધારીરૂપે પરમાત્મા આવ્યા હોય તે સગુણ પરમાત્મા કહેવાય. પ્રશ્નકર્તા : મોક્ષનો રસ્તો શો ? દાદાશ્રી : તમે બંધાયેલા છો એવું તમને લાગે છે ? જેલમાં પુરાયેલો હોય તેને મુક્તિ જોઈએ. પ્રશ્નકર્તા : બંધન તો છે જ ને ! દાદાશ્રી : બંધનમાં શું શું લાગે છે ? પ્રશ્નકર્તા : અત્યારે તો આ સંસાર સારો સારો લાગે છે. દાદાશ્રી : કડવો નથી લાગતો ? પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે. દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે, તોય કેવો આ જીવનો સ્વભાવ છે ? તે પાછો કેરી કાપીને ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણાં તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય ને બીબી કેરી કાપીને આપે તે શા કામની ? એક ફેર લડવાડ થાય તે શા કામનું ? તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે તે ? બેઉ ‘મેજિસ્ટ્રેટ’! પ્રશ્નકર્તા : મનુષ્યજીવનનો મુખ્ય હેતુ સાધવાનો માર્ગ કયો ? દાદાશ્રી : આ મનુષ્યજીવન એટલા માટે જ મળેલું છે કે અહીંથી આપણી મુક્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ કરી શકાય. મનુષ્યગતિમાંથી જ મુક્તિ થાય છે. અનંત અવતારથી આપણે પ્રયત્નો કર્યા કરીએ છીએ, (પા.૧૬૪)પણ સાચો માર્ગ મળતો નથી. સાચો માર્ગ મળે તો મનુષ્ય અવતારમાંથી મુક્તિ થાય એવું છે. બીજા કોઈ અવતારમાં મુક્તિ ના થાય, મનુષ્ય અવતારમાં અજ્ઞાનની મુક્તિ થાય, સદેહે મુક્તિ થાય. આ મનુષ્યજીવનનો હેતુ છે એ સાધવાનો માર્ગ, ‘જ્ઞાની પુરુષ’ આપણને મળે, તો પ્રાપ્ત થાય. ને આપણું બધી જાતનું કામ નીકળી જાય. અસંયોગી એ જ મોક્ષપ્રશ્નકર્તા : અમારે મોક્ષ નથી જોઈતો, પણ સંયોગ રહિત થવું છે. દાદાશ્રી : એટલે સંયોગ જ્યાં હોય ત્યાં વિયોગ હોય જ. તમે આમ ઊંધી કાનપટ્ટી પકડાવો છો ! આત્માને કોઈ સંયોગ ભેગો ના થાય એટલે મોક્ષ થઈ ગયો ! આ તો સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો ભેગા થયા જ કરે અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. વિયોગી વસ્તુ કોઈ બીજી નથી. એટલે તમારે સંયોગો એકલાની ચિંતા કરવાની કે સંયોગો ભેગા ના થાય ! સંયોગો એકલા ભેગા ના થાય તો બહુ થયું. એટલા માટે ભગવાને કહ્યું છે કે, ‘‘એગો મે સાશઓ અપ્પા.... તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તિવિહેણ વોસરિયામિ...’’ એવું તમારે સંજોગ વોસરાવી દેવા છે અને પાછું મોક્ષ જોઈતો નથી, એવું બોલો છો ! પ્રશ્નકર્તા : ધર્મ પ્રત્યે માણસને આકર્ષણ થતું નથી, થોડો વખત થાય ને પાછો છોડી દે છે, ને પાછો ધર્મ તરફ જાય છે, એવું કેમ ? દાદાશ્રી : આ જગતમાં એકલું આકર્ષણ નથી. આકર્ષણ ને વિકર્ષણ બન્ને છે, એ દ્વન્દ્વરૂપ છે. આ જગત જ દ્વન્દ્વરૂપ છે. એકલું આકર્ષણ કે એકલું વિકર્ષણ ના હોય, નહિ તો ફરી આકર્ષણ થાય જ નહિ અને (પા.૧૬૫)ધર્મનું એકલું આકર્ષણ હોય તોય લોકો કંટાળી જાય, કારણ કે આ સંસારમાં જે ધર્મ ચાલે છે તે યથાર્થ ધર્મ નથી, ભ્રાંતિધર્મ છે. પ્રશ્નકર્તા : પણ આ ભ્રાંતિ ધર્મ જરૂરનો છે ને ? દાદાશ્રી : હા, ‘ડેવલપ’ થવા માટે જરૂરનો છે. ખંડાઈ ખંડાઈને આગળ વધવાનું છે. જેમ ખંડાય, પીસાય તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય એટલે સ્વધર્મનું શરણું ખોળે. સાચી સામાયિકપ્રશ્નકર્તા : દાદા, શાસ્ત્રો વાંચતાં થાક લાગે, સામાયિક કરતાં થાક લાગે, પ્રતિક્રમણ કરતાં થાક લાગે, પૂજા કરતાં થાક લાગે, થાક લાગે તો શું કરવું ? દાદાશ્રી : ભગવાને સામાયિક કોને કહ્યું ? જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને આખોય દહાડો સામાયિક છે, એમ કહ્યું છે ! મહાવીર ભગવાન કેટલા ડાહ્યા છે ! તમને કશી જ મહેનત કરવાની ના રાખે. અને આ લોકોનું એકુંય સામાયિક ભગવાન ‘એક્સેપ્ટ’ ના કરે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એક ગુંઠાણાં માટે, અડતાલીસ મિનિટ માટે બંધ થવાં જોઈએ. ‘હું ચંદુભાઈ છું’ કરીને સામાયિક કરે, જેમ આ લીમડાને કાપી નાખીએ તોય ફરી ફૂટે, તોય તે કડવો જ રહે ને ?! કેમ કાપ્યા પછી મહીં ખાંડ નાખીએ તોય કડવો રહે ? પ્રશ્નકર્તા : હા, મૂળમાં જ એમ છે, દાદા. દાદાશ્રી : મૂળ સ્વભાવમાં જ છે એમ ! તેમ આ ‘ચંદુભાઈ’ બધા રાગ-દ્વેષ બંધ કરીને સામાયિકમાં બેઠા, તો તે શેની સામાયિક કરે ? નથી આત્મા જાણ્યો, નથી મિથ્યાત્વ સમજતા ! જે મિથ્યાત્વ સમજે તેને સમકિત થયા વગર રહે જ નહીં. એટલે સામાયિક કરવા શેઠ બેઠા હોય પણ એમને બીજું કશું આવડતું નથી એટલે એ શું કરે ? પોતાનું એક કુંડાળું વાળેલું હોય અને બીજા કોઈ વિચારો આવે, દુકાનના, લક્ષ્મીના, વિષયના તો તેને કુંડાળાની બહાર હાંક હાંક કરે ! જેમ એક કુંડાળામાં (પા.૧૬૬)ગાયનાં વાછરડાં પેસી જતાં હોય, કૂતરાં પેસી જતાં હોય તો તેને હાંક હાંક કરે અને કુંડાળામાં પેસવા ના દે, તેને સામાયિક કહે છે. તોય તે સામાયિક થાય, કારણ કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તેમાં ના થાય. પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં ના હોય, તો પછી સમતા જ કહેવાય ને ? દાદાશ્રી : પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં. એ તો હોય જ. એના માટે સામાયિક કરતા પહેલાં પહેલો નિયમ કરવો પડે. ‘‘હે ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છું. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગ ભાવ આપો.’’ આમ વિધિપૂર્વક કરે તો કામ થાય. પ્રશ્નકર્તા : તીર્થંકર બનવા માટે આ કાળમાં કેવા ગુણની જરૂર પડે ? દાદાશ્રી : નિરંતર જગતકલ્યાણની ભાવના, બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તોય પણ નિરંતર ભાવના શી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય. હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય. ‘જ્ઞાની પુરુષ’ મળે તો એને ‘સ્ટેજ’માં લાવી નાખે. અને સ્ટેજમાં આવ્યા પછી એમની આજ્ઞામાં રહે તો ભાવના ભાવતાં આવડે. પ્રશ્નકર્તા : નમસ્કાર અને વંદન, એ બન્ને સમાન કક્ષાના છે કે અલગ અલગ ભાવ છે ? દાદાશ્રી : બન્ને અલગ અલગ ભાવે છે. નમસ્કાર તો બહુ ઊંચી વસ્તુ છે. વંદન તો સહેજે આમ આપણે માથું નમાવીને ઊભા ઊભા હાથ જોડીએ એને વંદન કહેવાય અને નમસ્કાર તો કેટલાંય અંગ જમીન ઉપર અડે ત્યારે થાય. આપણામાં સાષ્ટાંગ નમસ્કાર કહેવાય છે ને ? એટલે આઠેય અંગ ભોંય પર અડે ત્યારે એ નમસ્કાર ગણાય છે. પણ (પા.૧૬૭)એક ફેરો જો સાચા દિલથી કરે ને તોય બહુ થઈ ગયું ! પ્રશ્નકર્તા : જ્ઞાન વેચી શકાય ? કેટલાક લોકો એમનાં પ્રવચનોની ટિકિટ રાખે છે. દાદાશ્રી : એવું છે કે જ્યાં પૈસાની લેવાદેવા છે, ત્યાં જ્ઞાન જ નથી. એ સંસારી જ્ઞાન હોય. એ મોક્ષનું જ્ઞાન નથી. પ્રશ્નકર્તા : જીવનો એવો કોઈ ક્રમ છે કે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં જ આવે કે બીજે ક્યાંય જાય ? દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં ભટકવું પડે. ફોરેનના મનુષ્યને એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ હોય. બીજા બધા ઊંચે ચઢ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : આ લોકો જેને વિધાતા કહે છે, એ કોને કહે છે ? દાદાશ્રી : એ કુદરતને જ વિધાતા કહે છે. વિધાતા નામની કોઈ દેવી નથી. ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિલ એવિડન્સ’ (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા છે. આપણા લોકોએ નક્કી કરેલું કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી જાય. વિકલ્પોથી આ બધું બરોબર છે અને વાસ્તવિક જાણવું હોય તો, આ બરાબર નથી. પ્રશ્નકર્તા : નિર્દોષ બાળકને શારીરિક વેદના ભોગવવી પડે છે, તેનું શું કારણ ? દાદાશ્રી : બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના અને ‘મધર’ને એ જોઈને ભોગવવાના. મૂળ કર્મ બાળકનું, એમાં ‘મધર’ની અનુમોદના હતી, એટલે ‘મધર’ને જોઈને ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું, આ ત્રણ કર્મબંધનાં કારણો છે. પ્રશ્નકર્તા : સ્વસ્તિકનો અર્થ શો ? દાદાશ્રી : સ્વસ્તિકનો ‘સિમ્બોલ’ (ચિહ્ન) એ ગતિસૂચક છે, એનાં ચાર પાંખિયાં ચાર ગતિ સૂચવે છે અને સેન્ટરમાં મોક્ષ છે. ચાર ગતિમાંથી (પા.૧૬૮)છેવટે મોક્ષમાં જ જવું પડશે. ચાર ગતિ એટલે મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચ(પશુ)ગતિ અને નર્કગતિ. આ ચાર ગતિ પુણ્ય અને પાપને આધારે છે અને પુણ્ય-પાપથી રહિત થયો ને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ થાય. ત્યાં ‘ક્રેડિટે’ય નહીં ને ‘ડેબિટે’ય નહીં, અહીં ‘ક્રેડિટ’ થાય એટલે દેવગતિમાં જાય અગર તો વડાપ્રધાન થાય. આ તમે ‘એસ. ઈ.’ થયા તો તે ‘ક્રેડિટ’ને લીધે. અને ‘ડેબિટ’ હોય તો ? પેલી મિલમાં નોકરી કરવી પડે ! આખો દહાડો મહેનત કરો તો ય પૂરું ના થાય અને ‘ક્રેડિટ-ડેબિટ’ ના થયું તો મોક્ષ થાય. મંદિરોનું મહત્ત્વપ્રશ્નકર્તા : જો દેરાસર ના હોત, મંદિરો ના હોત, તો પછી જેવી રીતે આપણે માટે દાદાશ્રી ઊભા થયા છે, પ્રગટ થયા છે, એવી રીતના એમના માટે કોઈને કોઈ ઊભું થયું હોત ને ? દાદાશ્રી : એ તો બરોબર છે. એ એક જાતનો વિકલ્પ છે. આમ બન્યું છે, એ ના હોત તો બીજો કોઈ ઉપાય તો હોત ને ? બીજું કંઈનું કંઈ મળત. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું ‘સાયન્સ’ છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો ! અત્યારે તો મહાવીર ભગવાનને દેરાસરમાં જતી વખતે હું પૂછું છું કે, ‘‘આ બધા લોકો તમારાં આટલાં બધાં દર્શન કરે છે, તો ય આટલી બધી અડચણો કેમ પડે છે ?’’ ત્યારે મહાવીર ભગવાન શું કહે છે ? ‘‘આ લોકો દર્શન કરતી વખતે મારો ફોટો લે છે, બહાર એનો જોડો મૂક્યો છે એનો ફોટો લે છે અને સાથે સાથે દુકાનનોય ફોટો લે છે ! માટે આવું થાય છે. હમણાં કો’ક જોડો લઈ જશે, તેનો પણ ફોટો લે છે !’’ અંતિમ પળે રામ નામપ્રશ્નકર્તા : આ મનુષ્યને જન્મ-મરણનો ફેરો ટાળવા માટે લોકોએ રામ, શ્રીકૃષ્ણ એ બધાં નામ આપ્યાં હોય છે. પણ છેલ્લી ઘડીએ કશું (પા.૧૬૯)યાદ આવતું નથી. તો છેલ્લી ઘડીએ શું કરવું જોઈએ કે પોતે આત્મામાં રહી શકે ને મોક્ષે જઈ શકે ? દાદાશ્રી : ખરું કહે છે, છેલ્લી ઘડીએ આમાંનું કશું યાદ ના આવે. છેલ્લી ઘડીએ તો આખી જિંદગીનું સરવૈયું યાદ આવે. સરવૈયામાં તો બધું આલેખાય, તમે દેરાસરમાં દર્શન કરવા ગયા હો, તો એ ખાતુંય મોટું હોય. તો એ થોડું ઘણું હાજર થાય ! નહીં તો છોડીઓ દેખાય કે આ પૈણાવાની રહી ગઈ. ત્યારે છોકરાઓ કહે, ‘કાકા, નવકાર મંત્ર બોલો.’ ત્યારે કાકા કહેશે, ‘અક્કલ વગરનો છે.’ અલ્યા, જવાનો થયો. હવે તો પાંસરો મરને ! આ અક્કલનો કોથળો વેચવા જાય તો ચાર આનાય ના આવે ! અત્યારે જવાની તૈયારીઓ થઈ રહી છે, ઠાઠડી બાંધવાની તૈયારીઓ કરે છે, ત્યારે આ પાછો હિસાબ કાઢે છે ! કઈ જાતનો છે ? એટલે છેલ્લી ઘડીએ જિંદગીનું સરવૈયું આવે છે. બીજું કશું ચાલે નહીં માટે, ‘આ’ પહેલું કરી લેવું. દાદા ભગવાન કોણ ?પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાન’ કોણ ? દાદાશ્રી : આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન હોય. તમને જે યાદ આવે છે તે ખરા ‘દાદા ભગવાન’ છે ! આ જે દેખાય છે, તે તો ‘એ. એમ. પટેલ’ છે અને મહીં બેઠા છે પ્રગટ પરમાત્મ સ્વરૂપ, તે ‘દાદા ભગવાન’ છે ! પ્રશ્નકર્તા : એ ‘દાદા ભગવાન’ ક્યારે હાજર હોય ? દાદાશ્રી : નિરંતર હાજર જ છે. આ બધાને નિરંતર હાજર રહેવાના ! પ્રશ્નકર્તા : પણ આપશ્રીને ‘દાદા ભગવાન’ કેમ કહે છે ? દાદાશ્રી : તે આપશ્રી તમે કોને ઓળખો છો ? આ જે દેખાય છે, તેમને કહો છો ? તમે તો એને જ ઓળખો ને ? ‘આપશ્રી’ મને (પા.૧૭૦)કહો છોને એ શું છે ? આ જે દેખાય છે, એ તો ભાદરણ ગામના પટેલ છે, અને ‘કોન્ટ્રાક્ટ’નો ધંધો કરે છે. ‘દાદા ભગવાન’ તો અંદર જે વ્યક્ત થયા છે, આત્મા વ્યક્ત થયો, પ્રગટ થયો, એ ‘દાદા ભગવાન’ છે, જેને સંસારીઓ ‘પ્રગટ પુરુષ’ કહે છે ! પ્રશ્નકર્તા : માણસ કદાપિ ઇશ્વર કે પરમાત્મા થઈ શકતો નથી, છતાં માણસ પાસે, પોતે ઇશ્વર કે પરમાત્મા હોવાનો દાવો કરે, ઇશ્વરી ચમત્કાર હોવાનો દાવો કરે, એ શું બરાબર છે ? દાદાશ્રી : એ દાવો કરવાની જરૂર જ નથી ! ‘પરમાત્મા છું’ એવો કોઈથી દાવો કરાય જ નહીં, છતાં કરે તો એ મૂર્ખ કહેવાય. લોકો મને ભગવાન કહે, પણ ભગવાન કોને કહેવાય ? આ દેહને કોઈ દહાડોય ભગવાન ના કહેવાય. આ તો પટેલ છે. આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન હોય. ‘દાદા ભગવાન’ તો મહીં પ્રગટ થયા છે તે છે, દેહધારીને ભગવાન કેમ કરીને કહેવાય ?! પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્તિ રૂપે કે શક્તિ રૂપે ? દાદાશ્રી : બન્ને સાચા છે, પણ વ્યક્તિ રૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિ રૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા હોય ત્યાં ! મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે, બીજી કોઈ યોનિમાં ભગવાન વ્યક્ત થઈ શકે નહીં. આત્મા એ જ પરમાત્મા છે, પણ વ્યક્ત થવો જોઈએ. વ્યક્ત થઈ જાય, ફોડ પડી જાય પછી ચિંતાઓ જાય, ઉપાધિઓ જાય. પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્ત ક્યાં થાય ? દાદાશ્રી : ભગવાન વ્યક્ત થાય એવા નથી. એ અવ્યક્તરૂપે રહેલા છે ! પ્રશ્નકર્તા : તમારા જેવામાં જ ભગવાન વ્યક્ત થાય, બીજે કશે વ્યક્ત થાય નહીં, એટલા માટે અહીં આવ્યા છીએ. દાદાશ્રી : એ તો બીજે થાય નહીં, કો’ક જ ઘરે અજવાળું પૂરું (પા.૧૭૧)થઈ જાય. પછી એ અજવાળા પરથી બીજા બધા દીવાઓ સળગે. એક દીવામાંથી બીજા દીવા થાય. પણ ઓચિંતો દીવો તો કો’ક જ ફેરો થાય ! અમને આ સુરતના સ્ટેશન પર ઓચિંતો દીવો થયેલો ! પ્રશ્નકર્તા : આપનો વ્યવહાર જે છે તે પણ શુભ વ્યવહારમાંથી જ ઉત્પન્ન થાય છે ને ? દાદાશ્રી : સંસારમાં એક શુભ વ્યવહાર છે અને એક અશુભ વ્યવહાર છે. જગતના લોકો એકલા શુભ વ્યવહારમાં રહી શકે નહીં, એ શુભાશુભમાં રહે ! સંતો શુભ વ્યવહારમાં રહે અને જે ચાર વેદથી ઉપર ગયેલા હોય એવા ‘જ્ઞાની પુરુષ’ શુભાશુભ વ્યવહારથી પર એવા શુદ્ધ વ્યવહારમાં હોય ! પ્રશ્નકર્તા : ગુરુ કોને કહેવાય ? દાદાશ્રી : ભૂલવાળો ગુરુ હોય નહીં. પણ તે કેવી ભૂલો હોય ? તો ચલાવી લેવાય ? કે જે ભૂલો બીજા કોઈનેય નુકસાનકારક ના હોય. પોતે જ જાણે કે આ ભૂલ હજી મારામાં રહી છે, એટલે કે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો હોય. નહીં તો પરમાત્મા ને એમનામાં ફેરેય શો રહ્યો ? ‘જ્ઞાની પુરુષ’ પોતે દેહધારીરૂપે પરમાત્મા જ કહેવાય. જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. જગત બે જાતની ભૂલ જોઈ શકે : એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો ‘જ્ઞાની પુરુષ’ પાસે ના હોય ! પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ’ કયા પુણ્યના આધારે મળે ? દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્યના આધારે ! આ બધું જે પુણ્યૈ દેખાય છે એ પાપાનુબંધી પુણ્યૈ છે. પાપાનુબંધી પુણ્યૈ એટલે બંગલા, મોટરો, ઘેર બધી સગવડો, એ બધું એ પુણ્યના આધારે હોય, પણ એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે. કોનું લઈ લઉં, ક્યાંથી લૂંટી લઉં, ક્યાંથી ભેળું કરું, કોનું ભોગવી લઉં ! એમને અણહક્કનું ભોગવી લેવાની તૈયારી (પા.૧૭૨)હોય, અણહક્કની લક્ષ્મી પણ પડાવી લે, એ બધું પાપાનુબંધી પુણ્યૈ કહેવાય. પુણ્યના આધારે સુખ ભોગવે છે, પણ નવા અનુબંધ પાપના નાખે છે ! અને જે પુણ્યૈથી સુખસગવડો બહુ ના હોય, પણ વિચારો ઊંચા આવે કે, કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરું, ભલે પોતાને થોડી અડચણ પડતી હોય, તેને વાંધો નહીં, પણ કોઈને ઉપાધિમાં ના મૂકું એ પુણ્યાનુબંધી પુણ્યૈ કહેવાય. એટલે નવા અનુબંધ પણ પુણ્યના થાય. પ્રશ્નકર્તા : મારે આપની પાસે ‘જ્ઞાન’ લેવું છે પણ અમે પહેલાંના ગુરુ કરેલા, એમાં કઈ મુશ્કેલી નહીં આવે ને ? દાદાશ્રી : ના, ગુરુ તમારા રહેવા દેવાના, ગુરુ વગર શી રીતે ચાલે ? એ ગુરુ આપણને સાંસારિક ધર્મો શીખવાડે. ‘શું સારું કરવું અને શું ખરાબ છોડી દેવું’ એ બધી વાતો આપણને સમજણ પાડે. પણ સંસાર તો ઊભો રહેવાનો ને ? અને આપણે તો મોક્ષે જવું છે ! એ માટે ‘જ્ઞાની પુરુષ’ જુદા જોઈએ, ‘જ્ઞાની પુરુષ’ એ ભગવાનપક્ષી કહેવાય. પેલા વ્યવહારમાં ગુરુ અને નિશ્ચયમાં આ જ્ઞાની ! બન્ને હોય તો કામ થાય માટે તમારા ગુરુ છે તેને રહેવા દેવાના. ત્યાં દર્શન કરવા હઉ જવાનું ! પ્રશ્નકર્તા : આ સત્પુરુષ તો વરસાદ બધાને સરખો વરસાવે છે, પણ મારો લીમડો હોય અને બીજાને આંબો હોય તો, બીજમાં ફેર પડી જાય ને ? પછી સરખું પરિણામ કેવી રીતે પામે ? દાદાશ્રી : આપણે અહીં તો બીજનો વાંધો નથી. અહીં આગળ તો તમારે વિનયપૂર્વક મને કહેવું કે સાહેબ, મારું કલ્યાણ કરો. અહીં પરમવિનયથી મોક્ષ છે. આ પાંચમા આરાનો પૌદ્ગલિક સડો છે, આ કોઈ દહાડો ‘રિપેર’ થાય નહીં. આમથી રિપેર કરો તો તેમથી તૂટશે ને તેમથી ‘રિપેર’ કરો તો આમથી તૂટશે. એના કરતાં ‘અક્રમ વિજ્ઞાન’ એ અંદરથી ચોખ્ખું કરી નાખે અને તમને છૂટા રાખે ! (પા.૧૭૩)પ્રશ્નકર્તા : ‘દાદા’ મને જ્ઞાન આપે, પણ મારામાં સમજવાની શક્તિ ના હોય તો શું કરવું ? દાદાશ્રી : મહીં આત્મા છે ને, જીવતા છો એટલે બધું થઈ જશે. તમારામાં સમજવાની શક્તિ હોય, એવું જો હું પાસ કરવા બેસું તો કોઈ પાસ જ ના થાય. એટલા માટે મેં શરૂઆતમાં ઋષભદેવ ભગવાનની મૂર્તિ પાસે વાત કરીને પૂછેલું કે આ અક્રમ વિજ્ઞાન આપવું હોય તો કોને આપવું ? પાસ થવા તેત્રીસ ટકા માર્ક જોઈએ ને કોઈ ત્રણ ટકાની ઉપર આવતું નથી. ત્યારે ભગવાને કહ્યું કે ત્રણ ટકાવાળાને આપો. તે ય પછી પાર વેલ્યુવાળાને આપવા માંડ્યા. એટલે કે ઝીરો માર્કવાળા ! અત્યારે માઈનસ માર્કવાળાઓને આ જ્ઞાન અપાય છે. પ્રશ્નકર્તા : સાંભરતાં જ અમને જે દાદા ભગવાનનાં દર્શન થાય અને રસ્તો દેખાડે, એ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે છે ? દાદાશ્રી : એ સ્વભાવથી જ છે બધું ! એમાં શુદ્ધ ચેતન ‘સાયલન્ટ’ હોય છે ! આ લાઈટ ‘સાયલન્ટ’ છે, લાઈટના આધારે બધી ક્રિયા કરે કે ના કરે ? ‘લાઈટ’નો નફો મળે ! પ્રશ્નકર્તા : યાદ કરતાં જ, ‘દાદા ભગવાન’ હાજર થાય. એ ક્રિયા શુદ્ધ ચેતનના આધારે થતી બહારની ક્રિયા છે ? દાદાશ્રી : આધાર નહીં, એ તો સ્વાભાવિક ક્રિયા છે. મહીં સૂક્ષ્મ શરીરનું ખેંચાણ થવું, એ સ્વાભાવિક ક્રિયા છે. પ્રશ્નકર્તા : પણ એ પુદ્ગલના ભાગમાં હોય ને ? દાદાશ્રી : બધું પુદ્ગલ જ કહેવાય. જગત એને ચેતન માને છે, ખરેખર ત્યાં ચેતન છે જ નહીં. કોઈ ચેતન સુધી પહોંચ્યો નથી ! ચેતનના પડછાયા સુધી પહોંચ્યો નથી ! પ્રશ્નકર્તા : જ્ઞાની અને જ્ઞાન અવતાર, એ બેમાં શો ફેર છે ? દાદાશ્રી : એમાં ખાસ કોઈ ફેર હોય નહીં, પણ જ્ઞાની તો એવું (પા.૧૭૪)છે ને કે બધાંયને, શાસ્ત્રના જ્ઞાનીનેય જ્ઞાની જ કહે છે ને ? પછી તે શાસ્ત્ર ગમે તે હોય. કુરાનેય જાણતો હોય તેનેય જ્ઞાની કહે. એટલે જ્ઞાન અવતાર કહેલું છે. બીજા કોઈથી જ્ઞાન અવતાર લખાય નહીં, જ્ઞાની એકલા જ લખે, એટલો ફેર રહે ! પ્રશ્નકર્તા : કૃપાળુદેવ જ્ઞાન અવતાર કહેવાયને ? દાદાશ્રી : હા, એ તો જ્ઞાન અવતાર છે. પ્રશ્નકર્તા : આત્મજ્ઞાની અને કેવળજ્ઞાનીમાં શો ફેર ? દાદાશ્રી : કશોય ફેર નહિ. આત્મા ‘કેવળજ્ઞાન સ્વરૂપ’ છે, પણ સત્તાએ કરીને ફેર છે. સત્તા એટલે આવરણને લઈને કેવળજ્ઞાન ના દેખાય. બહારનું દેખાય. સત્તા એની એ જ હોય. જેમ કોઈને દોઢ નંબરનાં ચશ્માં હોય અને કોઈને ચશ્માં ના હોય તો, ફેર પડે ને ? એના જેવું છે ! પ્રશ્નકર્તા : યુગ પુરુષ થશે આપણા શાસનમાં ? દાદાશ્રી : થશે ને ! યુગ પુરુષ ના થાય તો, આ દુનિયા કેવી રીતે ચાલશે ? કુદરતને ગરજ છે, એમાં આપણે ગરજ રાખવાની જરૂર નથી. જન્મોત્રી ય જોવાની જરૂર નથી. એ તો કુદરતના નિયમથી જ થાય. આપણે આપણી તૈયારી રાખો; બિસ્તરા-પોટલાં બાંધીને ગાડી ક્યારે આવે ને બેસી જઈએ એવી તૈયારી રાખો. પ્રશ્નકર્તા : ગાડી સાચી આવી કે ખોટી આવી, તેની ખબર શી રીતે પડે ? દાદાશ્રી : એવી શંકા પડે તો ઘેર જવાનું. ભગવાનને ત્યાં શંકાવાળાનું તો કામ જ નથી. આ ગાડીઓમાં ખરું-ખોટું કરવાનું ના હોય. સમજવામાં ખરું-ખોટું કરવાનું હોય. પ્રશ્નકર્તા : ભક્ત અને જ્ઞાની, એ બેમાં ફેર ખરો ? દાદાશ્રી : હા, સેવ્ય અને સેવક જેવો ફેર છે ! ભક્ત એ સેવક છે, તે પછી એ સેવ્ય થવાના. જ્ઞાની સેવ્ય છે અને ભક્તો સેવક છે. (પા.૧૭૫)સેવ્યનું સેવન કરવાથી સેવ્ય થતા જાય ને રૂપ તો એક જ છે. પણ અવસ્થાના હિસાબે ફરે છે. જેણે આત્મા પ્રાપ્ત કર્યો એ બધાંય જ્ઞાની કહેવાય, પણ જ્ઞાની જો બધાંય બોલવા જાય તો શું જવાબ આપો ? એટલે જ્ઞાની શ્રુતજ્ઞાન સહિત હોવા જોઈએ. વીતરાગ ભગવાનનું આખું શ્રુતજ્ઞાન તેમજ વેદાંત માર્ગનું શ્રુતજ્ઞાન બધું હોય, ત્યારે એમને જ્ઞાની કહેવાય. જ્ઞાની એમને એમ ના કહેવાય ! પ્રશ્નકર્તા : આશીર્વાદ માગીએ અને આપે તો, એ ફળે ખરા ? દાદાશ્રી : હા, પણ કાયમ બધા ફળતા નથી, એમાં આપણું વચનબળ હોવું જોઈએ, તો એ ફળે. નહીં તોય આપણે આશીર્વાદ આપવા ખરા. બાકી કોઈનો આપ્યો અપાતો નથી, એ તો પેલાનું બનવાનું હોય છે ત્યારે આ નિમિત્ત થાય છે. જેને યશનામકર્મ હોય તે નિમિત્ત બને છે. પછી આશીર્વાદની દુકાનો કાઢે. પોતાથી તો સંડાસ જવાની પણ શક્તિ નથી, તો આશીર્વાદ શું આપવાનો હતો ! આ તો યશનામકર્મ હોય છે, તે મોટા માણસોને વધારે સારું યશનામકર્મ હોય. જગતકલ્યાણની ભાવના ઘણા કાળથી, ઘણા અવતારથી ભાવેલી હોય તો યશનામકર્મ બહુ મોટું હોય. યશનામકર્મ તો જગતકલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયા છે. જેટલા પ્રમાણમાં અને જગતના લોકોને સુખ થાય એવી ઇચ્છા હોય, તેમાંથી યશનામકર્મ બંધાય અને જગતને ગોદા મારે તો અપયશનામકર્મ થાય. અપયશનામકર્મવાળો ગમે તેટલું કામ કરે તો ય અપયશ આવે ! ઘણા માણસો અહીં મને કહે છે કે, ‘મેં ખૂબ કામ કર્યું તોય મને અપજશ આવે છે.’ ‘અલ્યા, તું અપજશ લઈને આવ્યો છે, એટલે અપજશ મળશે. તારે તો તારું કામ કરવાનું અને અપજશ લેવાના !’ પ્રશ્નકર્તા : આપ વિધિ કરાવો છો, તો તેના સ્થાન તરીકે અંગૂઠાને જ કેમ મહત્ત્વ આપો છો ? દાદાશ્રી : ભગવાનને જે રસ્તે તાર જલદી ચોંટે એ જગ્યાએ વિધિ કરાવીએ છીએ. બીજી જગ્યાએ કરે તો તાર મોડો પહોંચે. આપણે જલદી (પા.૧૭૬)ખબર આપવી છે ને એટલા માટે. તને ના ગમ્યું ? પ્રશ્નકર્તા : ‘ક્વીક સર્વિસ’ તો બધાનેય ગમે. દાદાશ્રી : એટલે આ લોકો કંઈક બોલે છે ને અમૃત ઝરે છે, એવું કંઈક અમૃત ઝરે છે ખરું ? તને અનુભવમાં થોડું ઘણું આવ્યું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે સારું. જે તે રસ્તે આપણે અમૃત ઝરે એ કામનું ! પ્રશ્નકર્તા : ‘સર્વજ્ઞ’ કોને કહેવાય ? દાદાશ્રી : આ કવિરાજે અમારા માટે ‘સર્વજ્ઞ’ લખ્યું છે, ખરેખર તો આ કારણસર્વજ્ઞ છે, ‘સર્વજ્ઞ’ તો ૩૬૦ ડિગ્રીના હોય ત્યારે સર્વજ્ઞ કહેવાય. આ તો અમારું ૩૫૬ ડિગ્રીનું છે, અમે સર્વજ્ઞના કારણનું સેવન કરીએ છીએ ! પોતે એક સમય પણ પરસમયમાં ના જાય. નિરંતર સ્વસમયમાં હોય તે ‘સર્વજ્ઞ’. અમે સંપૂર્ણ અભ્યંતર નિર્ગ્રંથ હોઈએ. અમને જે વેષે જ્ઞાન થયું હોય તે વેષમાં ફેરફાર ના થાય. અમને આ કપડાં કાઢી લો તો ય વાંધો નથી અને રહેવા દો તોય વાંધો નથી. અમને લૂંટી લે તોય વાંધો નથી. પ્રશ્નકર્તા : આપને કેટલાં કર્મોનો અભાવ હોય ? દાદાશ્રી : અમને બધાં ય કર્મોનો અભાવ હોય. ફક્ત આ દેહના પોષણ માટે જરૂર હોય તેટલું હોય. તે કર્મ પણ સંવરપૂર્વકની નિર્જરા રૂપે હોય. બીજો કોઈ અમને વિચાર જ ના હોય. પ્રશ્નકર્તા : એટલે કે તમને અનંત જ્ઞાન, અનંત દર્શન પ્રગટેલું હોય ? દાદાશ્રી : બધુંય પ્રગટ થઈ ગયેલું હોય. ફક્ત ચાર ડિગ્રી જ કમી હોય. જેટલું કેવળજ્ઞાનીને જ્ઞાનમાં દેખાય, એટલું અમને સમજમાં (પા.૧૭૭)આવી ગયું હોય. પેલું કેવળજ્ઞાન કહેવાય, અમારું કેવળદર્શન કહેવાય. એટલે અમે કહીએ છીએ કે આખા જગત વિશે અહીં આગળ પૂછી શકાય ! પ્રશ્નકર્તા : ‘કેવળજ્ઞાન’ વગર ‘કેવળદર્શન’ હોઈ શકે ? દાદાશ્રી : ક્રમિક માર્ગમાં ‘કેવળજ્ઞાન’ વગર ‘કેવળદર્શન’ હોય નહીં. ‘અક્રમમાર્ગ’માં ‘કેવળદર્શન’ થાય. પછી ‘કેવળજ્ઞાન’ થતાં અમુક ટાઈમ લાગે. આ બધા બુદ્ધિના વિષય નથી, આ જ્ઞાનનો વિષય છે. પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરોમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ? દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીના દેરામાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકોય ના જાય. એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે. એની અમારી જવાબદારી હોય. લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવા અમારા રસ્તા હોય. આ અક્રમ વિજ્ઞાન આટલું બધું ફળદાયી છે, એક મિનિટેય ટાઈમ કેમ ખોવાય ? ફરી આવો જોગ કોઈ અવતારમાં ના હોય. માટે આ ભવમાં પૂરું કરી લેવાનું. પ્રશ્નકર્તા : દાદા, આ પૂરું કરી લેવાનું કહ્યું, તે કેવી રીતે ? દાદાશ્રી : અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી ટાઈમ બીજે બગડવો ના જોઈએ. અમે વડોદરા જઈએ અને જેને એવા સંયોગ અનુકૂળ હોય અને પૈસા હોય તેણે ત્યાં આવવું જોઈએ. અમારો જેટલો બને એટલો વધારે ટાઈમ લેવો. ખાલી અમારા સત્સંગમાં આવીને બેસી રહેવાનું. બીજું કંઈ જ કરવાની જરૂર નથી ! પ્રશ્નકર્તા : આપનો પરિચય આપશો ? દાદાશ્રી : ‘મને’ તમે ઓળખી શકવાના નથી. ‘આ’ જે તમે (પા.૧૭૮)જુઓ છો, એ તો અંબાલાલ પટેલ છે - ભાદરણ ગામના ! મને તો તમે ઓળખી જ ના શકોને ! કારણ ‘હું’ આમ દેખાઉં એવો છું જ નહીં ! આ જે વાણી બોલે છે, એ ‘ઓરિજિનલ ટેપરેકોર્ડર’ છે. તમારીય ‘ઓરિજિનલ ટેપરેકોર્ડર’ છે. પણ તમને અહંકાર છે એટલે ‘હું બોલ્યો’, ‘હું બોલ્યો’ કર્યા કરો છો ! અમને અહંકાર ના હોય એટલે આ કશી ભાંજગડ ના હોય. આ દેખાય છે એ ભાદરણના પટેલ છે અને મહીં ‘દાદા ભગવાન’ બેઠા છે ! અહીં વ્યક્ત થયેલા છે અને તમારામાં અવ્યક્તપણે રહેલા છે. એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારા પણ વ્યક્ત થયા કરે. આ પરમ વિનયનો માર્ગ છે. અહીં પૈસાની જરૂર ના હોય. અહીં સેવાનીય જરૂર ના હોય. અહીં કશાનીય જરૂર ના હોય, અહીં દ્રવ્યપૂજા હોય નહીં, આ તો મોક્ષનો માર્ગ છે. અમારી પાસે અવિનય કરો તેનો અમને વાંધો નથી, પણ તમે તમારી જાત ઉપર અંતરાય પાડી રહ્યા છો, તમે અમને ગાળો ભાંડો છો તે તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ વિનય જોઈએ ! પરમ વિનય જોઈએ ! અહીં અક્ષરેય આડુંઅવળું બોલાય નહીં. હમણાં પેલા મામલતદાર પાસે ગયા હોય તો તે ઘડીએ ચૂપ થઈને બેસી રહે, ત્યાં કેવા અક્ષરેય બોલે નહીં ! અને આ તો જ્ઞાની પુરુષ ! એમની પાસે તો બોલાતું હશે ? જ્ઞાની પુરુષ તો દેહધારી પરમાત્મા કહેવાય !!! ત્યાં બધી જ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે ! પોતે પોતાની ભક્તિપ્રશ્નકર્તા : આપણે ‘ઈન્વાઈટ’ ના કરીએ તોય એની મેળે વસ્તુ આવે છે. આ ઊંઘને લાવવી પડે છે ? એ એની મેળે જ આવે છે. તેવું આ જ્ઞાન એની મેળે જ આવશે ? દાદાશ્રી : આ ‘રિલેટિવ વસ્તુ’ ‘ઈન્વાઈટ’ કરવા જેવી નથી. ‘ઈન્વાઈટ’ કરવા જેવી વસ્તુ શું ? કે આપણે જે ગામ જવાનું છે, તેનું જ્ઞાન જાણવા જેવું છે. બાકી બીજું બધું તો એની મેળે જ આવશે. (પા.૧૭૯)આજે ધર્મમાં જે પુરુષાર્થ બધા ચાલે છે, એ તો ખેતીવાડી કરે છે, બીજ નાખે તેનું પાંચસો-પાંચસો ગણું મળ્યા કરે. પ્રશ્નકર્તા : આપણા માર્ગમાંય થોડી ખેતીવાડી ખરી ને ? આપણામાંય આરતી કરીએ છીએ ને ? દાદાશ્રી : આપણામાં ખેતીવાડી હોતી હશે ? ખુદ ખુદા થઈ ગયા ને ! આપણે ત્યાં જે આરતી છે એ ખુદની આરતી છે, અહીં દરેક માણસ પોતે પોતાની જ આરતી કરી રહ્યા છે. આપણે ત્યાં જે પદો ગાય છે, તે ખુદની જ કીર્તનભક્તિ છે ! આપણે ત્યાં ખુદના સિવાય ‘રિલેટીવ’ વસ્તુ જ નથી ! પ્રશ્નકર્તા : ખુદની કીર્તનભક્તિ કરનાર કોણ ? દાદાશ્રી : પોતે જ, પોતે ! પ્રશ્નકર્તા : એ ભાગ કયો ? દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ છે, તે કામ કરી રહી છે ! પ્રશ્નકર્તા : અજ્ઞા નહીંને ? દાદાશ્રી : ના, અજ્ઞા તો રહે જ નહીં ! અજ્ઞા હોય ત્યાં સુધી સંસાર ઊભો થઈ જાય. સંસારી બાબતની સલાહ આપે તે અજ્ઞાશક્તિ ! જેને ખબર નથી કે આપણે અહીં પોતે પોતાની કીર્તનભક્તિ કરીએ છીએ, એને તો પછી ખોટ જ જાયને ? આ જાણ્યા પછી ખોટ ના જવા દો ! અહીં જે ભક્તિ કરે છે, એ મારા માટે, ‘એ. એમ. પટેલ’ માટે નથી, ‘દાદા ભગવાન’ની છે ! અને ‘દાદા’ તો બધામાં બેઠા છે, મારા એકલામાં બેઠા નથી, એ તમારામાં બેઠા છે, આ તેમની જ ભક્તિ છે ! આરતી બધું તેમનું જ છે અને તેથી જ અહીં બધાને આનંદ આવે છે, તમારી જોડે હું પણ અંદર બેઠેલા ‘દાદા’ને મારા નમસ્કાર કરું છું ! પ્રશ્નકર્તા : તે ઘડીએ બધા આનંદમાં આવી જાય છે, એનું કારણ શું ? (પા.૧૮૦)દાદાશ્રી : કારણ કે આ ‘દાદા’ જો દેહધારી રૂપે હોતને તો તો મનમાં એમ થાત કે પોતાની જાતનું જ ગા ગા કર્યા કરે છે ! ખરેખર આ એવું નથી ! કૃષ્ણ ભગવાને ગીતામાં આવી રીતે ગાયું છે ! પણ લોકોને સમજાય નહીંને ! ‘તું’ જ કૃષ્ણ ભગવાન છે, જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થયું હોય, ત્યાં સુધી શી રીતે સમજ પડે ? સાંભળનારોય પોતાનો સત્સંગ કરે છે ને બોલનારોય પોતાનો સત્સંગ કરે છે. આ વિજ્ઞાન એવી જાતનું છે કે કોઈ માણસને પારકાં માટે કરવાની જરૂર નથી. એની મેળે પોતે પોતાનું જ કરી રહ્યા છે ! આ તમને દેખાય છે તે ‘દાદા ભગવાન’ છે ? ના, ન હોય એ ‘દાદા ભગવાન’, એ તો ‘એ. એમ. પટેલ’ છે, ભાદરણ ગામના છે. ‘દાદા ભગવાન’ તો અંદર પ્રગટ થયા છે, તે છે ! એમનું સ્વરૂપ શું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-એ એમનું સ્વરૂપ છે ! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આધારે જે અનુભવમાં આવે છે, તે ‘દાદા ભગવાન’ છે. બાકી આ તો પટેલ છે. કાલે આ પરપોટો ફૂટી જાય તો લોકો એને બાળી મૂકે અને ‘દાદા ભગવાન’ને કોઈ બાળી ના શકે. કારણ કે અગ્નિ સ્થૂળ સ્વરૂપ છે ને આત્મા સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મને શી રીતે બાળે ? એવા જ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સ્વરૂપે રહેલા ‘દાદા ભગવાન’ તમારી મહીં પણ બિરાજેલા છે ! તે તમે પોતે જ છો ! - જય સચ્ચિદાનંદ |