દાદા ભગવાન કથિત

સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય

સંકલન : ડૉ. નીરુબહેન અમીન

Table of Contents
સંપાદકીય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ )
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉતરાર્ધ )

સંપાદકીય

વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ સમજવાથી માંડીને ઠેઠ બ્રહ્મચર્યનું સ્વરૂપ, તેમજ તેની યથાર્થ અખંડ પ્રાપ્તિ સુધીની ભાવનાવાળા ભિન્ન ભિન્ન સાધકોની સંગાથે, પ્રગટ આત્મવીર્યવાન જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની નીકળેલી, માત્ર વૈરાગ્યને જન્માવનારી જ નહીં કિન્તુ વિષયબીજને નિર્મૂળ કરી નિર્ગ્રંથકારી અદ્ભુત વાણી જે વહી છે, તેનું અત્રે સંકલન થયું છે. સાધકોની દશા, સ્થિતિ ને સમજની ગહેરાઈને આધારે નીકળેલી વાણીને એવી ખૂબીપૂર્વક સંકલન કરવામાં આવી છે કે જેથી કરીને જુદા જુદા ‘લેવલે’ નીકળેલી વાત પ્રત્યેક વાચકને અખંડિતપણે સંપૂર્ણ પહોંચે, એવા ‘સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય’ ગ્રંથને પૂર્વાર્ધ-ઉત્તરાર્ધમાં વિભાજિત કરવામાં આવ્યો છે.

પૂર્વાર્ધના ખંડ : ૧માં વિષયનું વિરેચન કરાવનારી જોરદાર, ચોંટદાર ને શબ્દે શબ્દે વૈરાગ્ય નીપજાવનારી વાણી સંકલિત થઈ છે. જગતમાં સામાન્યપણે વિષયમાં સુખની વર્તતી ભ્રાંતિને ભાંગી નાખનારી, એટલું જ નહીં પણ ‘દિશા કઈ ? ને ચાલી રહ્યા ક્યાં ?!!’ એનું સંપૂર્ણ ભાન કરાવનારી હૃદયસ્પર્શી વાણીનું સંકલન થયું છે.

પૂર્વાર્ધના ખંડ : ૨માં બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે. ને જ્ઞાની પુરુષનો યોગ સાધી સત્સંગ સાન્નિધ્ય, પ્રાપ્ત થતાં મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિર્ગ્રંથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!!

અનંત વાર વિષય-કીચડમાં અલ્પસુખની લાલચે લબદાયો, ખરડાયો ને ઊંડો ગરક્યો છતાં એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી એ ય એક અજાયબી (!) છે ને ! જે ખરેખર આ કીચડમાંથી બહાર નીકળવા માગે છે, પણ માર્ગ નહીં મળવાને કારણે પરાણે ફસાઈ પડ્યાં છે ! તેવાંઓ કે જેમને છૂટવાની જ એકમેવ ઝંખના છે, તેમને તો ‘જ્ઞાની પુરુષ’નું આ ‘દર્શન’ નવી જ દ્રષ્ટિ આપી સર્વ ફસામણમાંથી છોડાવનારું બની જાય છે !

મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં તદ્દન અસંગતાના અનુભવનું પ્રમાણ અક્રમ વિજ્ઞાન પામનારા પરિણીતોએ સિદ્ધ કર્યું છે. પરિણીતો પણ મોક્ષમાર્ગને પામી આત્યંતિક કલ્યાણ સાધી શકે છે. ‘ગૃહસ્થાશ્રમમાં મોક્ષ !!!’ એ વિરોધાત્મક ભાસિત કરનારું લાગે, છતાં સૈદ્ધાંતિક વિજ્ઞાન દ્વારા પરિણીતો પણ માર્ગને પામ્યા છે, એવી હકીકત પ્રમાણભૂત સાકાર બની છે. અર્થાત્ ‘ગૃહસ્થતા મોક્ષમાર્ગમાં બાધક નથી ! (?!)’ એનું પ્રમાણ તો હશે ને ? એ પ્રમાણને પ્રકાશિત કરનારી વાણી ઉત્તરાર્ધના ખંડ : ૧માં આવરી લેવાઈ છે.

‘જ્ઞાની પુરુષ’ થકી ‘સ્વરૂપજ્ઞાન’ પ્રાપ્તિ થયેલાં પરિણીતો કાજે કે જે વિષય-વિકાર પરિણામ અને આત્મપરિણામના સાંધા પર જાગૃતિના પુરુષાર્થમાં છે એમને, જ્ઞાની પુરુષની વિજ્ઞાનમય વાણીથી વિષયનાં જોખમો સામે સતત જાગૃતિ, વિષય સામે ખેદ, ખેદ ને ખેદ તેમજ પ્રતિક્રમણ રૂપી પુરુષાર્થ, આકર્ષણના ઓવારેથી ડૂબ્યા વિણ બહાર નીકળી જવાની જાગૃતિ આપતી સમજના સિદ્ધાંતો કે જેમાં ‘આત્માનું સૂક્ષ્મતમ સ્વરૂપ, તેનો અકર્તા-અભોક્તા સ્વભાવ’ તેમજ ‘વિકાર પરિણામ કોનું ? વિષયનો ભોક્તા કોણ ? ને ભોગવ્યાનું માથે લઈ લેનાર કોણ ?’ એ સર્વ રહસ્યોનો ફોડ કે જે ક્યાંય ખુલ્લો થયો નથી, તે અત્રે સાદી, સરળ ને સોંસરવી ઊતરી જાય તેવી શૈલીમાં રજૂ થયો છે, કે જે સમજની સહેજ પણ શરતચૂકે સોનાની કટારસમ બની બેસે, તેનાં જોખમો તેમજ નિર્ભયતા પ્રગટ કરતી વાણી ઉત્તરાર્ધના ખંડ : ૨માં પ્રસ્તુત થાય છે.

સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! જગતના લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું મૂળ કારણ સ્વરૂપ એવાં ‘ભાવ બ્રહ્મચર્ય’નું વાસ્તવિક સ્વરૂપ સમજના ઊંડાણે ફીટ થાય, વિષયમુક્તિ કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતે જે જોયો છે, જાણ્યો છે ને અનુભવ્યો છે, એ ‘વૈજ્ઞાનિક અક્રમ માર્ગ’નું બ્રહ્મચર્ય સંબંધીનું અદ્ભુત રહસ્ય આ ગ્રંથમાં વિસ્ફોટતાને પામ્યું છે !

આ સંસારના મૂળને જડમૂળથી ઉખેડનારું, આત્માની અનંત સમાધિમાં રમણતા કરાવનારું નિર્ગ્રંથ-વીતરાગદશાને પમાડનારું, વીતરાગોએ પ્રાપ્ત કરી અન્યોને બોધેલું એ અખંડ ત્રિયોગી શુદ્ધ બ્રહ્મચર્ય નિશ્ચે મોક્ષ પમાડનારું જ છે ! આવા દુષમકાળે ‘અક્રમ વિજ્ઞાન’ની ઉપલબ્ધિ થયે આજીવનપણે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય સચવાઈ ગયું, તેને એકાવતારી પદ નિશ્ચે કરીને પ્રાપ્ત થાય તેમ છે !

અંતમાં, આવાં દુષમકાળમાં કે જ્યાં સમગ્ર જગતમાં વાતાવરણ જ વિષયાગિન્નું ફેલાઈ ગયું છે, તેવાં સંજોગોમાં બ્રહ્મચર્ય સંબંધી ‘પ્રગટ વિજ્ઞાન’ને સ્પર્શીને નીકળેલી ‘જ્ઞાની પુરુષ’ની અદ્ભુત વાણીને સંકલિત કરી વિષય-મોહથી છૂટી બ્રહ્મચર્યની સાધનામાં રહી, અખંડ શુદ્ધ બ્રહ્મચર્યના પાલનાર્થે સુજ્ઞવાચકના હાથમાં આ ‘સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય’ ગ્રંથના સંક્ષિપ્ત સ્વરૂપે મૂકવામાં આવે છે. વિષય જોખમોથી છૂટવા માટે, છતાં ગૃહસ્થતામાં રહી સર્વ વ્યવહાર નિર્ભયતાથી પૂરો કરવા કાજે તેમજ મોક્ષમાર્ગ નિરંતરાયપણે વર્તાય, તે માટે ‘જેમ છે તેમ’ વાસ્તવિકતા રજૂ કરવા જતાં સોનાની કટાર સ્વરૂપે કહેવામાં આવેલી ‘સમજ’ને અલ્પ પણ વિપરીતતા ભણી ન લઈ જતાં, સમ્યક્ પ્રકારે જ ઉપયોગ કરાય એવી પ્રત્યેક સુજ્ઞ વાચકને અત્યંત ભાવપૂર્વકની વિનંતી ! મોક્ષમાર્ગે યથાયોગ્ય પૂર્ણાહુતિ કાજે આ પુસ્તકનું ઉપયોગપૂર્વક આરાધન કરે એ જ અભ્યર્થના !

ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ.

સમર્પણ

વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા;

અરેરે ! અવદશા તો ય તેમાં જ વિચરતા!

સંસારનાં પરિભ્રમણને સહર્ષ સ્વીકારતા;

ને પરિણામે દુઃખ અનંત ભોગવતા!

દાવાઓ કરારી, મિશ્રચેતન-સંગે ચૂકવતા;

અનંત આત્મસુખને, વિષયભોગે વિમુખતા!

વિષય અજ્ઞાન ટળે, જ્ઞાની ‘જ્ઞાન’ પથરાતાં;

‘દ્રષ્ટિ’ નિર્મળતા તણી કૂંચીઓ અર્પતાં!

‘મોક્ષગામી’ કાજે - બ્રહ્મચારી કે પરિણતા;

શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા!

અહો ! નિર્ગ્રંથજ્ઞાનીની વાણી તણી અદ્ભુતતા;

અનુભવીનાં વચનો નિર્ગ્રંથપદને પમાડતાં!

મોક્ષપંથે વિચરતા, ‘શીલપદ’ને ભાવતા;

વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતાં!

અહો ! બ્રહ્મચર્યની સાધના કાજે નીસરતા;

આંતર્ બાહ્ય મૂંઝવણે સત્ ઉકેલ દર્શાવતા!

જ્ઞાનવેણોની સંકલના, ‘સમજ બ્રહ્મચર્ય’ની કરાવતા;

આત્મકલ્યાણાર્થે ‘આ’, મહાગ્રંથ જગચરણે સમર્પિતા!

‘દાદા ભગવાન’ કોણ ?

જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !

એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

(પા.૧)

સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ )

ખંડ : ૧ વિષયનું સ્વરૂપ, જ્ઞાની-દ્રષ્ટિએ !

[1] વિશ્લેષણ, વિષયના સ્વરૂપનું !

પ્રશ્નકર્તા : કુદરતને જો સ્ત્રી-પુરુષની જરૂરિયાત ન હોય, તો બ્રહ્મચર્યનું શા માટે આપ્યું ?

દાદાશ્રી : સ્ત્રી-પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ પણ કુદરતી છે. માણસ જેવી રીતે જીવવા માગે, તે જેવી ભાવના પોતે કરે છે, એ ભાવનાના ફળરૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પ્રોજેકટ છે.

પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ?

દાદાશ્રી : આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ?

પ્રશ્નકર્તા : બહુ લોહી જતું ના રહે.

દાદાશ્રી : લોહી જતું રહે તો શું થાય ?

પ્રશ્નકર્તા : શરીરમાં બહુ વિકનેસ આવી જાય.

દાદાશ્રી : તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું.... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતાં થતાં પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ

(પા.૨)

છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો !

એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગરકામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું ?

દાદાશ્રી : મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. બ્રહ્મચર્ય ન પળાય એની વાત જુદી છે, પણ બ્રહ્મચર્યના વિરોધી તો ન જ થવું જોઈએ. બ્રહ્મચર્ય તો મોટામાં મોટું સાધન છે.

એ લેટ ગો કરો આપણે. બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પૈણી જાવ. કોઈ પૈણે એમાં મને વાંધો નથી.

એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.

પ્રશ્નકર્તા : પૈણેલાં હોય, એ લોકોને જ્ઞાન મોડું આવે ને ? અને બ્રહ્મચર્ય પાળે છે, એ લોકોને જ્ઞાન વહેલું આવે ને ?

દાદાશ્રી : પૈણેલાં હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી અને બ્રહ્મચર્યવ્રત હોય

(પા.૩)

તો, એને આત્માનું સુખ મહીં પાર વગરનું વર્તે. મન સારું રહે, શરીર બધું સારું રહે !!

પ્રશ્નકર્તા : તો બંનેને જ્ઞાનની અવસ્થા સરખી હોય કે એમાં ફેર હોય ? પૈણેલાની અને બ્રહ્મચર્યવાળાની ?

દાદાશ્રી : એવું છે ને, બ્રહ્મચર્યવ્રતવાળો કોઈ દહાડો ય પડે નહીં. એને ગમે તેવી મુશ્કેલી આવે તો ય પડે નહીં. પછી એને સેફસાઈડ કહેવાય.

બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ તો કેવું સુંદર હોય. બ્રહ્મચર્ય એ તો આખો પુદ્ગલનો સાર છે.

પ્રશ્નકર્તા : આ સાર અસાર નથી થતો ને ?

દાદાશ્રી : ના, પણ એ સાર ઊડી જાય, ‘યુઝલેસ’ થઈ જાય ને !! એ સાર હોય, એની વાત તો જુદી ને ? મહાવીર ભગવાનને બેતાળીસ વર્ષ સુધી બ્રહ્મચર્યસાર હતો. આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રેકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુઃખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ તો અનાત્મ ભાગમાં આવે ને !

દાદાશ્રી : હા, પણ એ પુદ્ગલસાર છે !

પ્રશ્નકર્તા : તો પુદ્ગલસાર છે, એ સમયસારને હેલ્પ કઈ રીતે કરે છે ?

દાદાશ્રી : એ પુદ્ગલસાર હોય તો જ સમયસાર થાય, આ, મેં છે તો આ જ્ઞાન આપ્યું, ને એ તો અક્રમ છે એટલે ચાલ્યું. બીજી જગ્યાએ તો ચાલે નહીં, પેલા ક્રમિકમાં તો પુદ્ગલસાર જોઈએ જ, નહીં તો યાદે ય ના રહે કશું ય. વાણી બોલતાં ફાંફાં પડે.

(પા.૪)

પ્રશ્નકર્તા : એટલે આ બેને કંઈ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ ખરો ?

દાદાશ્રી : ખરો ને ! કેમ નહીં ? મુખ્ય વસ્તુ છે એ તો ! બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યું હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. પુદ્ગલસાર તો બહુ મોટી વસ્તુ છે. એક બાજુ પુદ્ગલસાર હોય તો જ સમયનો સાર કાઢે !

કોઈએ લોકોને આવી સાચી સમજ જ નથી પાડીને ! કારણ લોકો પોતે જ પોલ સ્વભાવના છે. પહેલાનાં ઋષિમુનિઓ ચોખ્ખા હતા. માટે તેઓ સમજ પાડતા હતા.

વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું ? કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.

ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ?

અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!!

મને કેટલાંક માણસો કહે છે કે, ‘આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષયસુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે ?’ મેં કહ્યું કે, આ મરી ગયેલાં જ છે બધાં, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે !! આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો અને બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે.

(પા.૫)

મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે તો કેવું સરસ મનોબળ રહે, કેવું સરસ વચનબળ રહે ને કેવું સરસ દેહબળ રહે ! આપણે ત્યાં ભગવાન મહાવીર સુધી કેવો વ્યવહાર હતો ? એક-બે બચ્ચાં સુધી ‘વ્યવહાર’ કરવો. પણ આ કાળમાં એ વ્યવહાર બગડવાનો, એવું ભગવાન જાણતા હતા, તેથી એમને પાંચમું મહાવ્રત ઘાલવું પડ્યું.

આ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે ! ભયંકર કીચડ છે આ તો ! પણ એ નહીં સમજવાથી, બેભાનપણાથી જગત ચાલ્યા કરે છે. એક સહેજ જો વિચારે તો ય કીચડ સમજાય. પણ આ લોકો વિચારતા જ નથી ને ?! નર્યો કીચડ છે. તો મનુષ્યો કેમ આવા કીચડમાં પડ્યા છે ? ત્યારે કહે, ‘બીજી જગ્યાએ ચોખ્ખું મળતું નથી. એટલે આવા કીચડમાં સૂઈ ગયો છે.’

પ્રશ્નકર્તા : એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને ?

દાદાશ્રી : હા, એની અજ્ઞાનતા છે. એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને !!

આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય ? કે તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે. અમને કોઈ વિષય જ અડતો નથી.

આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેંડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ...... હેય ફસામણ,

(પા.૬)

ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેંડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, ‘ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!’

હવે તારે સંસારમાં શું શું જોઈએ છે ? એ કહેને.

પ્રશ્નકર્તા : મારે તો આ શાદી જ નથી કરવી.

દાદાશ્રી : આ દેહ જ નર્યો ઉપાધિ છે ને ? પેટમાં દુઃખે ત્યારે આ દેહ ઉપર કેવું થાય છે ? તો બીજાની દુકાન સુધી વેપાર માંડીએ, તો શું થાય ? કેટલી ઉપાધિ આપે ? અને પાછા બે-ચાર છોકરાં હોય. બઈ એકલી હોય તો ઠીક છે વળી, એ પાંસરી રહે પણ આ તો ચાર છોકરાં !! તે શું થાય ? પાર વગરની ઉપાધિ !!

યોનિમાંથી જન્મ લે છે. તે યોનિમાં તો એટલાં બધાં ભયંકર દુઃખોમાં રહેવું પડે છે ને મોટી ઉંમરનો થાય કે યોનિ ઉપર જ પાછો જાય છે. આ જગતનો વ્યવહાર જ એવો છે. કોઈએ સાચું શીખવાડ્યું નથી ને ! મા-બાપે ય કહે કે પૈણો હવે. અને મા-બાપની ફરજ તો ખરી ને ? પણ કોઈ સાચી સલાહ ના આપે કે આમાં આવું દુઃખ છે.

લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ, પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ !!!

એક ભાઈ મને કહે છે કે મારી વાઈફ વગર મને ઓફિસે ગમતું નથી. અલ્યા, એક વાર હાથમાં પરુ થાય તો તું ચાટું ? નહીં તો શું જોઈને સ્ત્રીમાં મોહ પામે છે ?! આખું શરીર પરુથી જ ભરેલું છે. આ પોટલી શાની છે, એના વિચાર ના આવે ? મનુષ્યને એની સ્ત્રી પર પ્રેમ છે, એના કરતાં ભૂંડને ભૂંડણ પર વધારે પ્રેમ છે. આ તે કંઈ પ્રેમ કહેવાતો

(પા.૭)

હશે ? આ તો પાશવતા છે નરી ! પ્રેમ તો કોનું નામ કે જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ કહેવાય. આ તો બધી આસક્તિ છે.

બાકી વિષયભોગ એ તો નર્યો એંઠવાડો જ છે. આખી દુનિયાનો એંઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે ? આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે. કોઈ અવલંબનની એને જરૂર નથી.

જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું ય માની બેઠો છે !! એ સુખનો ફોડ પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !!!

આ શરીરની રાખોડી થાય છે અને એ રાખોડીનાં પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીનાં આ પરિણામ છે. નર્યો એંઠવાડો છે ! આ તો એંઠવાડાનો એંઠવાડો ને તેનો ય એંઠવાડો !! એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા, એનું ફરી ફરી બંધાયા કરે છે !!! વાસણને બીજે દહાડે અજવાળીએ એટલે એ દેખાય ચોખ્ખાં પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંદવાડો નથી ?

અરે, આમ સરસ દૂધપાક ખાધો હોય, તે ય ઊલટી કરી નાખે તો કેવો દેખાય ? રૂપાળું હાથમાં ઝલાય એવું દેખાય ? વાડકો ચોખ્ખો હોય, દૂધપાક સારો હોય પણ મહીં રેડીએ, ને એનો એ જ દૂધપાક પછી ઊલટી કરીને આપે કે ફરી પી જાવ, તો ના પી જાય ને કહેશે, જે થવાનું હશે તે થશે, પણ નહીં પીઉં. એટલે આ બધું ભાન રહેતું નથી ને !!!

પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય છે. બીજા બધા તો બનાવટ છે. શુદ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ?! ભ્રાંતિમાં જો કદી શુદ્ધ વિષય હોય તો આટલો જ છે.

વિષય એ સંડાસ છે. નાક, કાનમાંથી, મોઢામાંથી બધેથી જે જે નીકળે છે, એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એ ય સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે, તે સંડાસ છે પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી.

(પા.૮)

વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે, તેની જ મને નવાઈ લાગે છે ! વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?! જેટલું આપણને નથી ગમતું, તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે. આંખને જોવું ના ગમે. નાકને સૂંઘવું ના ગમે. તેં સૂંઘી જોયું’તું ? સૂંઘી જોવું હતું ને ? તો વૈરાગ તો આવે. કાનને રુચે નહીં. ફક્ત ચામડીને રુચે.

વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે.

મને તો આ વિષયનો એટલો બધો ગંદવાડો દેખાય કે મને આમ ને આમ સહેજે એ બાજુનો વિચાર ના આવે. મને વિષયનો કોઈ દહાડો વિચાર જ નથી આવતો. મેં એટલું બધું જોઈ નાખેલું, એટલું બધું જોયેલું કે મને માણસ આરપાર દેખાય એવું જોયેલું.

માણસને રોંગ બિલિફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથી ય ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત ! આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતાં નથી, પણ ધીમે ધીમે જતાં રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે !

પુરુષને સ્ત્રી છે એવું દેખાય તે પુરુષમાં રોગ હોય તો ‘સ્ત્રી છે’ એવું દેખાય. પુરુષમાં રોગ ના હોય તો સ્ત્રી ના દેખાય.

કેટલાંય અવતારથી ગણીએ તો ય પુરુષો આટ આટલી સ્ત્રીઓને પૈણ્યા અને સ્ત્રીઓ પુરુષોને પૈણી તો ય હજુ એને વિષયનો મોહ તૂટતો નથી. ત્યારે આનો ક્યારે પાર આવે તે ?! એનાં કરતાં થઈ જાવ એકલાં એટલે ભાંજગડ જ મટી ગઈને ?!

(પા.૯)

ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! બળદ પણ હૃષ્ટપુષ્ટ થઈને રહે છે ને ?!

પ્રશ્નકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને.

દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે ?

પ્રશ્નકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.

દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, ‘હે દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !’ અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ ના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારે ય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.

જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો, ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.

[2] વિકારોથી વિમુક્તિની વાટ....

પ્રશ્નકર્તા : ‘અક્રમ માર્ગ’માં વિકારો હઠાવવાનું સાધન કયું ?

દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે.

(પા.૧૦)

કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે ‘અહીં’ વિકારી પદ જ નથી, પદ જ ‘અહીં’ નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદ્દન વિષ નથી. વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય, તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને ?

દાદાશ્રી : હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવાં જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું ટોળું નર્કે જાય. ફરી મનુષ્યગતિ ય ના દેખે. ગુરુમાં વિકાર ના શોભે.

કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.

પ્રશ્નકર્તા : એ પણ એક વિકૃત સ્વરૂપ જ થયેલું કહેવાય ને ?

દાદાશ્રી : હા, વિકૃત જ ને ! તેથી વામમાર્ગી કહ્યું ને ! વામમાર્ગી એટલે મોક્ષે જાય નહીં ને લોકોને ય મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોને ય અધોગતિમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ?

(પા.૧૧)

દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે, એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે, બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તો ય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.

પ્રશ્નકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે.

દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તો ય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં.

જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી.

પ્રશ્નકર્તા : સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય.

દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાધાથી તો ખાવાનું મન થાય જ. પણ જે તમને ના ખાવો હોય ને ખવડાય, ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઉલ્ટીઓ થાયને ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય.

ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈએ વખતે મહિનો, બે મહિનાં. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને

(પા.૧૨)

ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય !

અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. ‘આપણે’ છૂટા રહ્યા એટલે મને ય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદે ય ના આવે. પછી કહે તો ય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી.

પ્રશ્નકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નીરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે. આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ?

દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ ન્હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં, મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને ?

મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. ‘ક્યાં ચોટેલું છે’ એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે.

પ્રશ્નકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય કયો ?

દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય. બીજો શો ઉપાય ? વાસના

(પા.૧૩)

તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે.

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ તમે કહ્યું ને, તે આ વિષય શેમાં આવે છે ? ‘કામ’ શેમાં આવે છે ?

દાદાશ્રી : વિષય જુદા ને આ કષાય જુદા છે. વિષયોને જો કદી આપણે તેની હદ ઓળંગીએ, હદથી વધારે માંગીએ એ લોભ છે.

[3] મહાત્મ્ય બ્રહ્મચર્યનું !

પ્રશ્નકર્તા : જે બાળબ્રહ્મચારી હોય તે વધારે ઉત્તમ કહેવાય કે પરણ્યા પછી બ્રહ્મચર્ય પાળે તે ઉત્તમ કહેવાય ?

દાદાશ્રી : બાળબ્રહ્મચારીની વાત જ જુદી ને ! પણ આજના બાળબ્રહ્મચારી કેવા છે ? આ જમાનો ખરાબ છે. તેમનું અત્યાર સુધી જે થયું છે તે જીવન તમે વાંચો, તો વાંચતાની સાથે જ તમારું માથું ચઢી જાય.

જો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો તમને ઉપાય બતાવું. તે ઉપાય તમારે કરવાનો હોય, નહીં તો તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું એ ફરજિયાત વસ્તુ નથી. એ તો જેને મહીં કર્મના ઉદય હોય તો થાય. બ્રહ્મચર્યવ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. અમે શું કહીએ છીએ કે તમારો નિશ્ચય જોઈએ ને અમારું વચનબળ જોડે છે, તો આ સચવાય એવું છે.

પ્રશ્નકર્તા : દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય તે ફેરફાર તો ના થાય ને ?

દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને

(પા.૧૪)

ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.

આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને, જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ ‘દાદાઈજ્ઞાન’, ‘અક્રમ વિજ્ઞાન’ અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ ? એક તો આ ‘અક્રમ વિજ્ઞાન’ જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !!

પ્રશ્નકર્તા : અત્યારે તો પડોશી ય નમસ્કાર નથી કરતો !

પ્રશ્નકર્તા : સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે, સમજીએ છીએ કે સાચું-ખોટું શું છે, છતાં વિષયોમાંથી છૂટાતું નથી. તો એનો ઉપાય શો ?

દાદાશ્રી : જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંઝિયા સમજણ કહેવાય.

પ્રશ્નકર્તા : એ સમજ ક્રિયાત્મક થાય, તે માટે શું પ્રયત્ન કરવો ?

દાદાશ્રી : હું તમને વિગતવાર સમજણ પાડું. પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઉલટો ડખો કરવા જાવ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય, તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે.

આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી.

(પા.૧૫)

પ્રશ્નકર્તા : પણ માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે. એટલે પછી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં ને ?

દાદાશ્રી : હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી ! જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઉર્ધ્વગમન છે ! વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : આજ્ઞામાં શું હોય છે ? સ્થૂળ બંધ કરવાનું ?

દાદાશ્રી : સ્થૂળને અમે કંઈ કહેતા જ નથી. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, બ્રહ્મચર્ય માટે ફરી ગયાં એટલે સ્થૂળ તો એની મેળે આવે જ. તારાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારે ય ફરી જ જાય છે !!

પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ?

દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય.

ખંડ : ૨ ‘ના જ પરણવા’નાં નિશ્ચયી માટેની વાટ...

[1] વિષયથી, કઈ સમજણે છૂટાય ?

પ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઇચ્છા નથી, પરંતુ મા-બાપ તેમજ

(પા.૧૬)

અન્ય સગાસંબંધી લગ્ન માટે દબાણ કરે છે. તો મારે લગ્ન કરવાં કે નહીં ?

દાદાશ્રી : જો લગ્ન કરવાની ઇચ્છા જ ના હોય તો આપણું આ ‘જ્ઞાન’ તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ. તમારું કલ્યાણ થઈ જશે !!!

બ્રહ્મચર્યવ્રત લેવાના વિચાર આવે અને જો એનો નિશ્ચય થાય તો એના જેવી મોટામાં મોટી વસ્તુ બીજી કઈ કહેવાય ? એ બધા શાસ્ત્રો સમજી ગયો !! જેને નિશ્ચય થયો કે મારે હવે છૂટવું જ છે, તે બધા શાસ્ત્રો સમજી ગયો. વિષયનો મોહ એવો છે કે ગમે તેવા નિર્મોહીને પણ મોહી બનાવી દે. અરે, સાધુ-આચાર્યોને ય ટાઢા પાડી મેલે !

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય કર્યો છે, એને વધારે મજબૂત કરવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : ફરી ફરી નિશ્ચય કરવાનો છે અને ‘હે દાદા ભગવાન! હું નિશ્ચય મજબૂત કરું છું, મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.’ એવું બોલ્યા કે શક્તિ વધે.

પ્રશ્નકર્તા : વિષયના વિચાર આવે તો પણ જોયા કરવાના ?

દાદાશ્રી : જોયા જ કરવાના. ત્યારે શું એને સંગ્રહી રાખવાના ?

પ્રશ્નકર્તા : ઉડાડી નહીં દેવાના ?

દાદાશ્રી : જોયા જ કરવાના, જોયા કર્યા પછી છે તે આપણે ચંદ્રેશને કહેવું કે એનાં પ્રતિક્રમણ કરો. મન-વચન-કાયાથી વિકારી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચાર આવે છે પણ પોતે એમાંથી છૂટે, તો કેટલો બધો આનંદ થાય છે ?! તો વિષયથી કાયમ છૂટે તો કેટલો આનંદ રહે ?

મોક્ષે જવાના ચાર પાયા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. હવે તપ

(પા.૧૭)

ક્યારે કરવાનું આવે ? મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું. પોતાની કિંચિત્માત્ર ઇચ્છા ના હોય, છતાં વિચારો આવ્યા કરે ત્યાં તપ કરવાનું છે.

અબ્રહ્મચર્યના વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે.

એક ચેતવા જેવું તો વિષય બાબતમાં છે. એક વિષયને જીતે તો બહુ થઈ ગયું. એનો વિચાર આવતાં પહેલાં જ ઉખેડી નાખવું પડે. મહીં વિચાર ઊગ્યો કે તરત જ ઉખેડી નાખવું પડે. બીજું, આમ દ્રષ્ટિ મળી કો’કની જોડે, તો તરત ખસેડી નાખવી પડે. નહીં તો એ છોડવો આવડો અમથો થાય કે તરત એમાંથી પાછાં બીજ પડે. એટલે એ છોડવો તો ઊગતાં જ કાઢી નાખવો પડે.

જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે, માટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય. સત્સંગમાં તો બીજી ‘ફાઈલો’ ભેગી નહીં થવાની ને ? એક જાતના વિચારવાળા બધા ભેગા થાય ને?!

મનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખેડી નાંખવો જોઈએ અને કંઈક આકર્ષણ થયું કે એનું તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે.

આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહીં બીજ પડે, તો એને પછી ઉખેડી નાખવાનું. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે, પછી કશું ના વળે.

(પા.૧૮)

આ બધી સ્ત્રીઓ કંઈ આપણને આકર્ષતી નથી, જે આકર્ષે છે તે આપણો પાછલો હિસાબ છે; માટે ત્યાં ઉખેડીને ફેંકી દો, ચોખ્ખું કરી નાખો. આપણા જ્ઞાન પછી કશો વાંધો નથી આવતો, માત્ર એક વિષય માટે અમે ચેતવીએ છીએ. દ્રષ્ટિ માંડવી જ ગુનો છે અને એ સમજ્યા પછી જોખમદારી ખૂબ વધી જાય છે, માટે કોઈની જોડે દ્રષ્ટિ જ ના માંડવી.

ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે, તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે, ‘હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.’ અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.

પ્રશ્નકર્તા : આંખ મિલાઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : આપણી પાસે પ્રતિક્રમણનું સાધન છે, તેનાથી ધોઈ નાખવું. આંખ મળે તો તો પ્રતિક્રમણ તરત જ કરી નાખવું જોઈએ. તેથી તો કહ્યું છે ને કે ચિતરામણવાળી સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ના મૂકશો.

પ્રશ્નકર્તા : વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ?

દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે.

પ્રશ્નકર્તા : બિલકુલ ગમતું જ નથી, તો ય આકર્ષણ થઈ જાય છે. એનો બહુ ખેદ રહ્યા કરે છે.

દાદાશ્રી : એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ. તો પછી વિષય શેનો થાય ? બીજું જોઈએ, તો વિષય થાય ને ? વિષયનું

(પા.૧૯)

તને પૃથક્કરણ કરતાં આવડે છે ?

પ્રશ્નકર્તા : આપ જણાવો.

દાદાશ્રી : પૃથક્કરણ એટલે શું કે વિષય એ આંખે ગમે એવા હોય છે ? કાને સાંભળે તો ગમે ? અને જીભથી ચાટે તો મીઠું લાગે ? એકુંય ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને ? અરે, બહુ સુગંધ આવે ને ? અત્તર ચોપડેલું હોય ને ? એટલે આવું પૃથક્કરણ કરે, ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે, પણ આવું પૃથક્કરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે, એ ય અજાયબી જ છે ને !

‘‘એક વિષયને જીતતાં, જીત્યો સહુ સંસાર,

નૃપતિ જીતતાં જીતિયે, દળ, પૂર ને અધિકાર.’’

- શ્રીમદ્ રાજચંદ્ર

એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય.

પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી અમે આ અવતારમાં જ વિષય બીજથી એકદમ નિર્ગ્રંથ થઈ શકીએ ?

દાદાશ્રી : બધું જ થઈ શકે. આવતા ભવ માટે બીજ ના પડે. આ જૂનાં બીજ હોય એ તમે ધોઈ નાખો, નવાં બીજ પડે નહીં.

પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં વિષય માટે એકે ય વિચાર નહીં આવે ?

દાદાશ્રી : નહીં આવે. થોડું ઘણું કાચું રહી ગયું હોય તો પહેલાના એટલા થોડા વિચાર આવે પણ તે વિચાર બહુ અડે નહીં. જ્યાં હિસાબ નહીં, તેનું જોખમ નહીં.

પ્રશ્નકર્તા : શીલવાન કોને કહેવાય ?

(પા.૨૦)

દાદાશ્રી : વિષયનો વિચાર ના આવે. જેને ક્રોધ-માન-માયા-લોભ ના થાય, એને શીલવાન કહેવાય.

કસોટીના કોઈવાર પ્રસંગ આવે તો, એને માટે ઉપવાસ કરી નાખવા બે-ત્રણ. જ્યારે કર્મો બહુ જોર કરે ને ત્યારે ઉપવાસ કર્યા કે બંધ થઈ જાય. એ ઉપવાસથી મરી ના જાય.

[2] દ્રષ્ટિ ઉખડે, ‘થ્રી વિઝને’ !

મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાં ય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તો ય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ?

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.’ શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને ‘દેખત ભૂલી’ કહેવાય.

‘દેખત ભૂલી ટળે’ એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ફરે અને સમ્યક્ દ્રષ્ટિ થાય તો બધાં દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.

પ્રશ્નકર્તા : એક સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય, એમાં સ્ત્રીનો દોષ ખરો ?

દાદાશ્રી : ના, એમાં સ્ત્રીનો કંઈ દોષ નહીં ! ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો, પણ તેથી

(પા.૨૧)

ભગવાનને કશું ના અડે ! એટલે જ્ઞાન શું કહે છે કે તમારી ક્રિયા સહેતુક હોવી જોઈએ. તમારે એવા પટિયાં ના પાડવાં જોઈએ કે એવાં કપડાં પણ ના પહેરવાં જોઈએ કે જેથી સામાને મોહ ઉત્પન્ન થાય. આપણો ભાવ ચોખ્ખો હોય તો કંઈ બગડે તેમ નથી. ભગવાન શા હારું કેશનું લોચન કરતા હતા ? કે મારી ઉપર કોઈ સ્ત્રીનો આ વાળને લઈને ભાવ બગડે તો ? માટે આ વાળ જ કાઢી નાખો એટલે ભાવ જ ના બગડે. કારણ કે ભગવાન તો બહુ રૂપાળા હોય, મહાવીર ભગવાનનું રૂપ, આખા વર્લ્ડમાં સુંદર !

પ્રશ્નકર્તા : સ્ત્રી પરનો મોહ ને રાગ જાય, ત્યારે રુચિ ખલાસ થવા માંડે ?

દાદાશ્રી : રુચિની ગાંઠ તો અનંત અવતારની પડેલી છે, ક્યારે ફૂટી નીકળે એ કહેવાય નહીં. એટલે આ સંગમાં જ રહેવું. આ સંગની બહાર ગયા કે ફરી એ રુચિના આધારે બધું ફૂટી નીકળે પાછું. એટલે આ બ્રહ્મચારીઓનાં સંગમાં જ રહેવું પડે. હજુ આ રુચિ ગઈ નથી, એટલે બીજા કુસંગમાં પેસો કે પેલું તરત ચાલુ થઈ જાય. કારણ કે કુસંગનો બધો સ્વભાવ જ એવો છે.

પણ જેને રુચિ ઉડી ગયેલી હોય તો કુસંગ ના અડે પછી.

અમારી આજ્ઞા પાળશો તો તમારો મોહ જશે. મોહને તમે જાતે કાઢવા જશો તો એ તમને કાઢી મૂકે એવો છે ! માટે એમને કાઢી મૂકવા કરતાં એમને કહીએ, ‘બેસો સાહેબ, અમે તમારી પૂજા કરીએ!’ પછી જુદા થઈને આપણે તેના પર ઉપયોગ દીધો ને દાદાની આજ્ઞામાં આવ્યા કે મોહને તરત એની મેળે જવું જ પડશે.

[3] દ્રઢ નિશ્ચય, પહોંચાડે પાર !

નિશ્ચય કોનું નામ કહેવાય ? કે ગમે તેવું લશ્કર ચઢી આવે તો ય આપણે તેને ગાંઠીએ નહીં ! મહીં ગમે એવા સમજાવનારા મળે તો ય આપણે તેને ગાંઠીએ નહીં ! નિશ્ચય કર્યો, પછી એ ફરે નહીં, એનું

(પા.૨૨)

નામ નિશ્ચય કહેવાય.

નિશ્ચય એટલે શું ? કે બધા વિચારોને બંધ કરી દઈને એક જ વિચાર પર આવી જવું, કે આપણે અહીંથી સ્ટેશને જવું છે જ. સ્ટેશનથી ગાડીમાં જ બેસવું છે. આપણે બસમાં નહીં જવું. એટલે પછી બધા એવા ગાડીનાં સંજોગો ભેગાં થાય, તમારો નિશ્ચય હોય તો.

નિશ્ચય કાચો હોય તો ગાડીનાં સંજોગ ના ભેગા થાય.

પ્રશ્નકર્તા : નિશ્ચય આગળ ટાઈમીંગ બદલાઈ જાય ?

દાદાશ્રી : નિશ્ચય આગળ બધાં ટાઈમીંગ બદલાઈ જાય. આ ભાઈ કહેતા હતા કે ‘હું બનતાં સુધી ત્યાં આવીશ, પણ વખતે ના અવાય તો નીકળી જજો.’ તે અમે સમજી ગયા કે આમણે નિશ્ચય પોલો કર્યો છે, તે આગળ એવિડન્સ એવા મળે કે આપણું ધારેલું થાય નહીં.

પ્રશ્નકર્તા : આપણા નિશ્ચયને તોડાવે છે કોણ ?

દાદાશ્રી : એ આપણો જ અહંકાર. મોહવાળો અહંકાર છે ને ! મૂર્છિત અહંકાર !!

પ્રશ્નકર્તા : દાનત ચોર હોવી એ નિશ્ચયની કચાશ કહેવાય ?

દાદાશ્રી : કચાશ ના કહેવાય, આ નિશ્ચય જ નહીં. કચાશ તો નીકળી જાય બધી, પણ એ તો નિશ્ચય જ નથી.

પ્રશ્નકર્તા : દાનત ચોર ન હોય, તો પછી વિચાર બિલકુલ આવતો બંધ થઈ જાય ?

દાદાશ્રી : ના, છો ને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે ? વિચાર બંધ ના થઈ જાય. દાનત ચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચને ય ગાંઠે નહીં, સ્ટ્રોંગ ! વિચાર જ કેમ આવે તે ?

(પા.૨૩)

કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તો ય ના ઊંઘે ત્યાં.

તમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો ! અમારી આજ્ઞા તો, એ જ્યાં જશે ત્યાં રસ્તો બતાવશે અને આપણે સહેજ પણ પ્રતિજ્ઞા નહીં છોડવી. વિષયનો વિચાર આવ્યો તો અડધો કલાક સુધી તો ધો ધો કરવો કે કેમ હજુ વિચાર આવે છે ! અને આંખ તો કોઈના ય સામે માંડવી જ નહીં. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે આંખ તો મંડાય જ નહીં.

આ સ્ત્રી જાતિને ખાલી હાથ આમ અડી ગયો હોય તો પણ નિશ્ચય ડગાવ, ડગાવ કરે. રાત્રે ઊંઘવા જ ના દે એવા એ પરમાણુઓ ! માટે સ્પર્શ તો થવો જ ના જોઈએ અને દ્રષ્ટિ સાચવે તો પછી નિશ્ચય ડગે નહીં !

પ્રશ્નકર્તા : કોઈને બ્રહ્મચર્ય માટે નિશ્ચય ડગુમગુ થાય, એ એની પૂર્વની ભાવના એવી હશે, એટલે ?

દાદાશ્રી : ના, એવું નહીં, આ નિશ્ચય છે જ નહીં એનો. આ પહેલાંનો પ્રોજેક્ટ નથી અને આ જે નિશ્ચય કર્યો છે, એ લોકોનું જોઈને કર્યો છે. આ ખાલી દેખાદેખી છે એટલે ડગમગ થયા કરે છે, એના કરતાં શાદી કરને ભાઈ, શી ખોટ જવાની છે ? કોઈ છોકરી ઠેકાણે પડશે !

બ્રહ્મચર્યમાં અપવાદ રખાય એવી વસ્તુ નથી. કારણ કે માણસનું મન પોલ ખોળે છે, કોઈ જગ્યાએ આવડું અમથું કાણું હોય તો તેને મન મોટું કરી આપે !

પ્રશ્નકર્તા : આ પોલ ખોળી કાઢે, એમાં કઈ વૃત્તિ કામ કરે છે ?

દાદાશ્રી : એ મન જ કામ કરે છે, વૃત્તિ નહીં. મનનો સ્વભાવ જ એવો પોલ ખોળવાનો છે.

પ્રશ્નકર્તા : મન પોલ મારતું હોય તો, એને કઈ રીતે અટકાવવું?

(પા.૨૪)

દાદાશ્રી : નિશ્ચયથી. નિશ્ચય હોય તો પોલ મારે શી રીતે તે ? આપણો નિશ્ચય છે, તો કોઈ પોલ મારે જ નહીં ને ? જેને ‘માંસાહાર નથી ખાવું’ એવો નિશ્ચય છે, એ નથી જ ખાતો.

પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં નિશ્ચય કરી રાખવા ?

દાદાશ્રી : નિશ્ચયથી જ બધું કામ થાય છે.

પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત કર્યા પછી નિશ્ચયબળ રાખવું પડે?

દાદાશ્રી : પોતાને રાખવાનું જ નથી ને ?! આપણે તો ‘ચંદ્રેશ’ને કહેવાનું કે તમે બરાબર નિશ્ચય રાખો.

આ વાતના પ્રશ્નો પૂછવાના થાય તો એ પોલ ખોળે છે. માટે આ પ્રશ્નો પૂછવાના થાય ત્યારે એને ‘ચૂપ’ કહીએ, ‘ગેટ આઉટ’ કહીએ, એટલે એ ચૂપ થઈ જાય. ‘ગેટ આઉટ’ કહેતાંની સાથે જ બધું ભાગી જાય.

તારે શું થાય છે ?

પ્રશ્નકર્તા : દિવસમાં એવો એવિડન્સ બાઝે તો વિષયની એકાદ ગાંઠ ફૂટી જાય, પણ પાછું તરત થ્રી વિઝન આમ મૂકી દઉં.

દાદાશ્રી : નદીમાં તો એક જ ફેરો ડૂબ્યો કે મરી જાય ને? કે રોજ રોજ ડૂબે તો મરી જાય ? નદીમાં એક ફેરો જ ડૂબી મરે, પછી વાંધો છે ? નદીને ખોટ જવાની છે કંઈ ?

શાસ્ત્રકારોએ તો એક જ વખતના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે.

મરી જજે, પણ અબ્રહ્મચર્ય ના થવા દઈશ.

કર્મનો ઉદય આવે ને જાગૃતિ ના રહેતી હોય ત્યારે જ્ઞાનનાં વાક્યો મોટેથી બોલીને જાગૃતિ લાવે અને કર્મોની સામો થાય, એ બધું પરાક્રમ

(પા.૨૫)

કહેવાય. સ્વ-વીર્યને સ્ફૂરાયમાન કરવું એ પરાક્રમ. પરાક્રમ આગળ કોઈની તાકાત નથી.

જેટલો તું સિન્સીયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્રરૂપે અમે આપીએ છીએ ને નાનો છોકરો ય સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. પણ જે જેટલો સિન્સીયર, એની એટલી જાગૃતિ. આ તો સાયન્સ છે. જેટલી આમાં સિન્સીયારિટી એટલું જ પોતાનું થાય અને આ સિન્સીયારિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. સિન્સીયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય.

પ્રશ્નકર્તા : તે દિવસે આપ કંઈ કહેતા હતા કે જવાનીમાં ય ‘રીજ પોઈન્ટ’ હોય છે, તો એ ‘રીજ પોઈન્ટ’ શું છે ?

દાદાશ્રી : ‘રીજ પોઈન્ટ’ એટલે આ છાપરું હોય છે, તે એમાં ‘રીજ પોઈન્ટ’ ક્યાં આગળ આવ્યું ? ટોચ ઉપર.

યુવાની જ્યારે ‘રીજ પોઈન્ટ’ ઉપર જાય એ વખતે જ બધું પાડી નાખે. એમાંથી એ ‘પાસ’ થઈ ગયો, પસાર થઈ ગયો તો જીત્યો. અમે તો બધું ય સાચવી લઈએ, પણ એનું જો પોતાનું મન ફેરફાર થાય તો પછી ઉપાય નથી. એટલા માટે અમે એને અત્યારે ઉદય થતાં પહેલાં શીખવાડીએ કે ભઈ, નીચું જોઈને ચાલજો. સ્ત્રીને જોશો નહીં, બીજું બધું ભજિયાં-જલેબી જો જો. આ તમારે માટે ગેરેન્ટી ના અપાય. કારણ કે યુવાની છે.

[4] વિષય વિચારો પજવે ત્યારે...

કો’ક દહાડો મહીં કંઈક વિચાર ખરાબ ઊગ્યો અને કાઢી નાખતાં વાર લાગી પછી એનું મોટું પ્રતિક્રમણ કરવું પડે. એ તો વિચાર ઊગ્યો કે તરત કાઢી નાખવાનો, ફેંકી દેવાનું.

[5] ન ચલાય, મનના કહ્યા પ્રમાણે !

મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન

(પા.૨૬)

પ્રમાણે ચાલતું હોય, તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય.

જુઓ ને ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, ‘મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ ડાહ્યો નહીં કબીરો ? અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે ‘આને પૈણો.’ તો પૈણી જવું ?

પ્રશ્નકર્તા : ના. એવું ના થાય.

દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવું ય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ?

પ્રશ્નકર્તા : હવે અમે અહીંથી ક્યાંય નાસી ના જઈએ.

દાદાશ્રી : અરે, પણ મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી ના જાય, એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું. અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે ! એ તો તને ખબર જ નથી. તમારા મનનાં શું ઠેકાણાં ?

અત્યારે તો તમારું મન તમને ‘પૈણવા જેવું છે નહીં, પૈણવામાં બહુ દુઃખ છે’ એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. ‘મને’ તમને સિદ્ધાંત બતાવ્યો કે ‘આમ કરો.’

પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનું મન સામું થાય જ નહીં ને આવું ?

દાદાશ્રી : ના. ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનાં

(પા.૨૭)

ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય. અને આ તો રોડાંનો, મહીં ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ?

[6] ‘પોતે’ પોતાને વઢવો !

આ ભાઈએ જુઓને ખખડાવ્યો હતો પોતાની જાતને, ધમકાવી નાખ્યો. આ રડતો હતો હઉ, એ ખખડાવતો હતો, બેઉ જોવા જેવી ચીજ.

પ્રશ્નકર્તા : એક વાર બે-ત્રણ વખત ચંદ્રેશને ટૈડકાવેલો, ત્યારે બહુ રડેલો પણ ખરો. પણ મને એમ પણ કહેતો હતો કે હવે આવું નહીં થાય, છતાં ફરીથી થાય છે.

દાદાશ્રી : હા. એ તો થવાનું તો ખરું, પણ એ તો વારેઘડીએ પાછું કહેવાનું, આપણે કહેતાં રહેવાનું ને એ થયા કરવાનું. કહેવાથી આપણું જુદાપણું રહે. તન્મયાકાર ના થઈ જઈએ. એ પાડોશીને વઢીએ એવી રીતે ચાલ્યા કરે. એમ કરતું કરતું પૂરું થઈ જાય અને બધી ફાઈલો પૂરી થઈ જશે ને !_ વિષયનો વિચાર આવે તો ય કહીએ, ‘હું ન્હોય’ આ જુદું, એને ટૈડકાવો પડે.

પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગો બતાવો છો ને, અરીસામાં સામાયિક કરવાનું. પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બધા બહુ સારા લાગે છે. પછી બે-ત્રણ દિવસ સારું થાય, પછી એમાં કચાશ આવી જાય છે.

દાદાશ્રી : કચાશ આવે તો પાછું ફરી નવેસર કરવું. જૂનું થાય એટલે બધું કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય અને નવી પાછી ગોઠવણી કરીને મૂકી દેવાનું.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. એ થતું નથી ને અધવચ્ચે પૂરો થઈ જાય છે પ્રયોગ.

દાદાશ્રી : એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય.

(પા.૨૮)

[7] પસ્તાવા સહિતના પ્રતિક્રમણો !

પ્રશ્નકર્તા : અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે.

દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય.

પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ?

દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું. પ્રતિક્રમણ કરીએ એટલે.

પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ?

દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએ ને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા કરવાનું. ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે.

પ્રશ્નકર્તા : આ બધું ચીકણું બહુ છે. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે.

દાદાશ્રી : જેવો ભરેલો દોષ એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે-પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો !

પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?

દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછા-વત્તા થઈ જાય. એટલે મરતાં

(પા.૨૯)

પહેલાં એ ચોખ્ખો થઈ જાય.

તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ ને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને, એટલે ઓછું થઈ જાય !

પ્રશ્નકર્તા : વિષય-વિકાર સંબંધીનું સામાયિક-પ્રતિક્રમણ કરવાનું કેવી રીતે ?

દાદાશ્રી : અત્યાર સુધી ભૂલ થઈ ગઈ હોય તેના પ્રતિક્રમણ કરવાનાં, ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો.

પ્રશ્નકર્તા : આપણે સામાયિકમાં તો જે કંઈ દોષ થયા હોય, તે ફરી ફરી દેખાતા હોય તો ?

દાદાશ્રી : દેખાય ત્યાં સુધી એની ક્ષમા માંગવાની, ક્ષમાપના કરવાની, એના પર ‘એ’ પસ્તાવો કરવાનો, પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : આ હમણાં સામાયિકમાં બેઠા, આ દેખાયું છતાં ફરી ફરી કેમ આવે છે ?

દાદાશ્રી : એ તો આવેને, મહીં પરમાણુ હોય તો આવે. તેનો આપણને શું વાંધો છે ?

પ્રશ્નકર્તા : આ આવે છે એટલે એમ કે હજી ધોવાયો નથી.

દાદાશ્રી : ના, એ તો માલ હજુ ઘણાં કાળ સુધી રહેશે. હજુ ય દસ-દસ વરસ સુધી રહેશે, પણ તમારે બધો કાઢવાનો.

પ્રશ્નકર્તા : આ જે બે પાંદડીએ ચૂંટવાનું વિજ્ઞાન છે, કે વિષયની ગાંઠ ફૂટે ત્યારે બે પાંદડે ઉખેડી નાખવું. તો જીતી જવાય ને ?

(પા.૩૦)

દાદાશ્રી : હા, પણ વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે. એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે, તે એટલાં જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય. એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને ! એ ગાંઠ ફૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાંની સાથે ઉખેડીને ફેંકી દે, તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.

પ્રશ્નકર્તા : એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને ?

દાદાશ્રી : એ વ્યવહાર જ બંધ થઈ જાય. ટાંકણી અને લોહચુંબકનો સંબંધ જ બંધ થઈ જાય. એ સંબંધ જ ના રહે. એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે ને ! હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવું ભાન રહેવું બહુ મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને ! એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી !

વિષયની ગાંઠ મોટી હોય છે, તેના નિકાલની બહુ જ જરૂર, તે કુદરતી રીતે આપણે અહીં આ સામાયિક ઊભું થઈ ગયું છે ! સામાયિક ગોઠવો, સામાયિકથી બધું ઓગળે ! કંઈક કરવું તો પડશે ને ? દાદા છે ત્યાં સુધીમાં બધો રોગ કાઢવો પડશે ને ? એકાદ ગાંઠ જ ભારે હોય, પણ જે રોગ છે તે તો કાઢવો જ પડશે ને ? એ રોગથી જ અનંત અવતાર ભટકયા છે ને ? આ સામાયિક તો શાને માટે છે કે વિષયભાવનું બીજ હજુ સુધી ગયું નથી અને એ બીજમાંથી જ ચાર્જ થાય છે, એ વિષયભાવનું બીજ જવા માટે આ સામાયિક છે.

[8] સ્પર્શ સુખની ભ્રામક માન્યતા !

વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે.

(પા.૩૧)

અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ?

પ્રશ્નકર્તા : ‘વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.’

પ્રશ્નકર્તા : છતાં સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ?

દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલિફો તેથી. ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલિફો છે. બિલિફો તોડી નાખો એટલે કશું ય નહીં.

પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ?

દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે !

મનમાં વિચાર આવે, તે વિચાર એની મેળે જ આવ્યા કરે, તો એને આપણે પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. પછી વાણીમાં એવું બોલવું નહીં કે, વિષયો સેવવા એ બહુ સારા છે અને વર્તનમાં એવું રાખવું નહીં. સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડવી નહીં. સ્ત્રીઓને જોવી નહીં, અડવું નહીં. સ્ત્રીઓને અડી ગયા હોઈએ તો ય મનમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, કે ‘અરેરે, આને ક્યાં અડ્યો !’ કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે.

પ્રશ્નકર્તા : એ તિરસ્કાર કર્યો ના કહેવાય ?

દાદાશ્રી : એ તિરસ્કાર ના કહેવાય. પ્રતિક્રમણમાં તો આપણે એના આત્માને કહીએ છીએ કે ‘અમારી ભૂલ થઈ ગઈ, ફરી આવી ભૂલ ના થાય એવી શક્તિ આપજો.’ એનાં જ આત્માને એવું કહેવાનું કે મને શક્તિઓ આપજો. જ્યાં આપણી ભૂલ થઈ હોય ત્યાં જ શક્તિ માગવાની

(પા.૩૨)

એટલે એ શક્તિ મળ્યા કરે.

પ્રશ્નકર્તા : તો સ્પર્શની અસર થાય ને ?

દાદાશ્રી : તે ઘડીએ આપણે મન સંકુચિત કરી નાખવાનું. હું આ દેહથી છૂટો છું, હું ‘ચંદ્રેશ’ ય ન હોય, એ ઉપયોગ રહેવો જોઈએ, શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ. કો’ક દહાડો એવું બને ત્યારે શુદ્ધ ઉપયોગમાં જ રહેવું, ‘હું ‘ચંદ્રેશ’ ય ન હોય.’

સ્પર્શસુખ માણવાનો વિચાર આવે તો તે આવતાંની પહેલાં જ ઉખેડીને ફેંકી દેવો. જો તરત ઉખેડીને ફેંકી ના દે તો પહેલી સેકંડે ઝાડ થઈ જાય, બીજી સેકંડે આપણને એ પકડમાં લે ને ત્રીજી સેકંડે પછી ફાંસીએ ચઢવાનો વારો આવે.

હિસાબ ના હોય તો ટચે ય ના થાય. સ્ત્રી-પુરુષ એક રૂમમાં હોય તો ય, વિચારે ય ના આવે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હિસાબ છે, તેથી આકર્ષણ થાય છે. તો તે હિસાબ પહેલેથી કેવી રીતે ઉખેડી દેવાય ?

દાદાશ્રી : એ તો તે ઘડીએ, ઓન ધી મોમેન્ટ કરે તો જ જાય. પહેલેથી ના થાય. મનમાં વિચાર આવે ને કે ‘સ્ત્રી માટે બાજુમાં જગ્યા રાખીએ.’ તે તરત જ એ વિચારને ઉખેડી દેવું. ‘હેતુ શું છે’ તે જોઈ લેવાનું. આપણા સિદ્ધાંતને અનુરૂપ છે કે સિદ્ધાંતની વિરુદ્ધ છે. સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો તરત જ ઉખેડીને ફેંકી દેવું.

પ્રશ્નકર્તા : તે મારે સ્પર્શ કરવો જ નથી. પણ કોઈ છોકરી સામેથી સ્પર્શ કરે, તો પછી હું શું કરું ?

દાદાશ્રી : બરાબર. સાપ જાણી જોઈને અડે, તેને આપણે શું કરીએ ?(!) અડવાનું કેમ ગમે, પુરુષ કે સ્ત્રીને ? જ્યાં નરી ગંધ જ છે, ત્યાં અડવાનું કેમ ગમે ?

(પા.૩૩)

પ્રશ્નકર્તા : પણ સ્પર્શ કરતી વખતે આ કશું આમાનું યાદ નથી આવતું.

દાદાશ્રી : હા, એ યાદ શેનું આવે પણ ? તે ઘડીએ તો એ સ્પર્શ કરતી વખતે, એટલો બધો પોઈઝનસ હોય છે, તે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં ઉપર આવરણ આવી જાય છે. માણસ બેભાન બની જાય છે. જાનવર જ જોઈ લો ને તે ઘડીએ !

સ્પર્શ થાય કે એવું તેવું થાય તો મને આવીને કહેવું ને હું તરત ચોખ્ખું કરી આપું.

સ્ત્રી અગર વિષયમાં રમણતા કરીએ, ધ્યાન કરીએ, નિદિધ્યાસન કરીએ તો એ ગાંઠ પડી જાય વિષયની. પછી શેનાથી ઓગળે એ ? ત્યારે કહે, વિષયના વિરુદ્ધ વિચારોથી ઓગળી જાય.

દ્રષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્રષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોઝિઝ છે. તેથી કરીને બધાનું જોઈને દ્રષ્ટિ બદલાતી નથી. અમુકને જુએ ત્યારે દ્રષ્ટિ બદલાય છે. કૉઝીઝ હોય, એનો આગળનો હિસાબ ચાલુ આવતો હોય તે અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી. એની જોડે પ્રતિક્રમણના તીર માર માર કરવા. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જબરજસ્ત હોય.

આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે રહેતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે અને ‘બહુ સરસ છે, બહુ મઝાનું છે’ એમ માનીને નર્યા પાર વગરનાં બધાં બીજ પડે છે.

પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોયને એવું ?

દાદાશ્રી : એનું ચિત્ત ત્યાંનું ત્યાં જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પણ પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના

(પા.૩૪)

કહે તો ય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું અને પછી એમ ને એમ જે સ્ખલન થાય, તે તો ગલન કહેવાય. રાતે થઈ ગયું, દહાડે થઈ ગયું, એ બધું ગલન કહેવાય. પણ આ છોકરાંઓને જો એક જ ફેરો વિષય અડ્યો હોય ને, તે પછી રાત- દહાડો એના એ જ સ્વપ્નાં આવે.

તને એવો અનુભવ છે કે વિષયમાં ચિત્ત જાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ?

પ્રશ્નકર્તા : ચિત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય તો કેટલાય કાળ સુધી પોતાને સ્થિરતા ના રહેવા દે.

દાદાશ્રી : એટલે હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો. કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ન કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી એટલે પછી મારી જાતને હું સમજી ગયો, હું તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી, પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ.

જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?

પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ?

દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ આપણે હવે શું કરવું? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાં ય ઝલાવા ના દે. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય.

(પા.૩૫)

જે ચિત્તને ડગાવે એ બધા જ વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે, એ બધા જ વિષય છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી, પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે.

દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડને ! વિચાર તો ગમે તેવા હશે, એ વાંધો નહીં. પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ.

પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ?

દાદાશ્રી : આપણે, ત્યાં આગળ ‘હવે એવું ના થાય’ એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું જતું હતું એટલું જ હજુ પણ જાય છે ?

પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું.

દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જેવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહીં, એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતોનો વ્યવહાર કરો કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ એટલે મન પાછું નવા વિચાર દેખાડશે.

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટયું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહીં કરો, એ ઉત્તમ કહેવાય.

[9] ‘ફાઈલ’ સામે કડકાઈ !

પ્રશ્નકર્તા : એ જે મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ?

(પા.૩૬)

દાદાશ્રી : આપણે દ્રષ્ટિ જ ના માંડીએ. આપણે જાણીએ કે આ જાળ ખેંચનારી છે, એટલે એની જોડે દ્રષ્ટિ જ માંડવી નહીં.

જ્યાં આપણને લાગે કે આ તો અહીં ફસામણ જ છે, ત્યાં તો એને ભેગા જ ના થવું.

કોઈની જોડે દ્રષ્ટિ મિલાવીને વાત કરવી નહીં, નીચી દ્રષ્ટિ રાખીને જ વાત કરવી. દ્રષ્ટિથી જ બગડે છે. એ દ્રષ્ટિમાં વિષ હોય છે અને વિષ પછી ચઢે છે. એટલે દ્રષ્ટિ મંડાઈ હોયને, નજર ખેંચાઈ હોય તો તરત પ્રતિક્રમણ કરી લેવું, અહીં તો ચેતતા જ રહેવું જોઈએ. જેને આ જીવન બગડવા ના દેવું હોય એણે બિવેર રહેવું.

જ્યાં મન ખેંચાતું હોય, તે ફાઈલ આવે તે ઘડીએ મન ચંચળ જ રહ્યાં કરે.

તે ઘડીએ મન ચંચળ થાય ને અમને મહીં બહુ દુઃખ થાય. આનું મન ચંચળ થયું હતું. એટલે મારી આંખ કડક થઈ જાય.

ફાઈલ આવે તે ઘડીએ મહીં કૂદાકૂદ કરી મેલે. ઉપર જાય, નીચે જાય, એના વિચાર આવતાંની સાથે, એ તો મહીં નર્યો ગંદવાડો ભરેલો છે, કચરો માલ છે. મહીં આત્માની જ કિંમત છે !

ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને !

જેને ફાઈલ થયેલી જ હોય, એને માટે બહુ જોખમ રહ્યું. એના માટે કડક રહેવું. સામે આવે તો આંખ કાઢવી જોઈએ. તો એ ફાઈલ ડરતી રહે. ઉલટું ફાઈલ થયા પછી તો લોક ચંપલ મારે, તો ફરી એ મોઢું દેખાડતો જ ભૂલી જાય.

(પા.૩૭)

પ્રશ્નકર્તા : ફાઈલ હોય, એના ઉપર આપણને તિરસ્કાર ઊભો ના થતો હોય તો જાણી-જોઈને તિરસ્કાર ઊભો કરવો ?

દાદાશ્રી : હા. તિરસ્કાર કેમ ઊભો ના થાય ? જે આપણું આટલું બધું અહિત કરે છે, તેના પર તિરસ્કાર ના થાય ? માટે હજુ પોલ છે ! દાનત ચોર છે !

પ્રશ્નકર્તા : બહુ પરિચય થયો હોય તો એનો અપરિચય કેવી રીતે કરવો ? તિરસ્કાર કરીને ?

દાદાશ્રી : ‘ન્હોય મારું, ન્હોય મારું’ કરીને, ઘણાં પ્રતિક્રમણ કરવાં. પછી રૂબરૂમાં મળી જાય તે ઘડીએ આપી દેવું જોઈએ. ‘શું મોઢું લઈને ફર્યા કરે છે, જાનવર જેવી, યુઝલેસ !’ પછી એ ફરી મોઢું ના દેખાડે.

પ્રશ્નકર્તા : સામી ફાઈલ એ આપણા માટે ફાઈલ નથી, પણ એના માટે આપણે ફાઈલ છીએ એવું આપણને ખબર પડે તો આપણે શું કરવું ?

દાદાશ્રી : તો તો વહેલું વધારે ઉડાડી દેવું. વધારે કડક થવું. એ ચીતરવાનું જ બંધ કરી દેને. ના હોય તો ગાંડું હઉં બોલવું. એને કહેવું કે ‘ચાર ધોલો મારી દઈશ, જો તું મારી સામે આવીશ તો ! મારા જેવો ચક્રમ નહીં મળે કોઈ.’ એવું કહીએ એટલે પછી ફરી પેસે નહીં. એ તો આવી જ રીતે ખસે.

[10] વિષયી વર્તન ? તો ડિસમીસ !

અહીં દ્રષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. અહીં તો બધા વિશ્વાસથી આવે ને !

અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી.

પાશવતા કરવી, તેનાં કરતાં પૈણવું સારું. પૈણવામાં શો વાંધો છે ?

(પા.૩૮)

એ પાશવતા સારી હજુ, પૈણ્યાની ! પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી ! અને તે તો અહીં હોય જ નહીં ને ? પૈણવું એ તો હક્કના વિષય કહેવાય.

બ્રહ્મચર્ય ભંગ કરવું એ મોટો દોષ. બ્રહ્મચર્ય ભંગ થાય ત્યારે મુશ્કેલી, હતા ત્યાંથી ગબડી પડ્યા. રોપેલું ઝાડ હોય દસ વર્ષનું અને પડી જાય તો પછી આજથી જ રોપ્યા એવું જ થયું ને પાછું દસે ય વર્ષ નકામા ગયા ને ! અને બ્રહ્મચર્યવાળો પડી ગયો. એક જ દહાડો પડી જાય એટલે ખલાસ થઈ ગયો.

પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે પણ ભૂલો થઈ જાય છે.

દાદાશ્રી : ભૂલો બીજી થાય તો ચલાવી લેવાય. વિષય સંયોગ ના થવો જોઈએ.

બે કલમો, એક વિષયી વર્તન, વિષયી વર્તન થાય તો અમે જાતે નિવૃત થઈ જઈશું, કોઈને નિવૃત કરવા નહીં પડે. એવું લખવાનું. જાતે જ આ સ્થાન છોડીને અમે ચાલ્યા જઈશું અને બીજું આ પ્રમાદ થશે દાદાની હાજરીમાં ઝોકાં ખાવાનું તો સંઘ જે અમને શિક્ષા કરશે તે ઘડીએ. ત્રણ દા’ડાની ભૂખ્યા રહેવાની કે એવી તેવી, જે કંઈ શિક્ષા કરે તે સ્વીકારીશું.

[11] સેફસાઈડ સુધીની વાડ...

બ્રહ્મચર્ય પાળી શકવા માટે આટલાં કારણો હોવાં જોઈએ. એક તો આપણું આ ‘જ્ઞાન’ હોવું જોઈએ. પાછી આટલી જરૂરિયાત જોઈએ તો ખરી, કે બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, બ્રહ્મચારીની જગ્યા શહેરથી જરા દૂર હોવી જોઈએ અને પાછળ પોષણ હોવું જોઈએ. એટલે આવાં બધા ‘કૉઝીઝ’ હોવાં જોઈએ.

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કુસંગ નિશ્ચયબળને કાપી નાખે ?

(પા.૩૯)

દાદાશ્રી : હા, નિશ્ચયબળને કાપી નાખે ! અરે, માણસનું આખું પરિવર્તન જ કરી નાખે અને સત્સંગે ય માણસનું પરિવર્તન કરી નાખે. પણ એક ફેરો કુસંગમાં ગયેલો, સત્સંગમાં લાવવો હોય તો બહુ અઘરો પડી જાય અને સત્સંગવાળાને કુસંગી બનાવવો હોય તો વાર ના લાગે.

પ્રશ્નકર્તા : બધી ગાંઠો છે, તેમાં વિષયની ગાંઠ જરા વધારે પજવે છે.

દાદાશ્રી : એ અમુક ગાંઠ વધારે પજવે. તેને માટે આપણે લશ્કર તૈયાર રાખવું પડે. આ બધી ગાંઠો તો ધીમે ધીમે એક્ઝોસ્ટ થયા જ કરે છે, ઘસાયા જ કરે છે; તે એક દહાડો બધી વપરાઈ જ જવાની ને ?!

પ્રશ્નકર્તા : લશ્કર એટલે શું ? પ્રતિક્રમણ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ, દ્રઢ નિશ્ચય, એ બધું લશ્કર રાખવું પડે અને ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન, એ દર્શનથી છૂટા પડી જાવ તો ય વેષ થઈ પડે. એટલે સેફસાઈડ એ કંઈ સહેલી વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય ?

દાદાશ્રી : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય, તેનું તો ઠેકાણું જ નહીં ને ! પણ પાંત્રીસ વર્ષ પછી જરા એના દિવસ આથમવા માંડે, એટલે એ તમને બહુ હેરાન ના કરે. પછી તમારા ધાર્યા પ્રમાણે ચાલ્યા કરે, એ તમારા વિચારોને આધીન રહે. તમારી ઇચ્છા ના બગડે, તમને પછી કોઈ નુકસાન ના કરે. પણ પાંત્રીસ વર્ષ સુધી તો બહુ જ જોખમદારી !!

[12] તિતિક્ષાનાં તપે કેળવો મન-દેહ !!

પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય, એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય

(પા.૪૦)

જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી.

અમે ઊણોદરી તપ ઠેઠ સુધી રાખેલું ! બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ! ઊણું જ ખાવાનું એટલે મહીં જાગૃતિ નિરંતર રહે. ઊણોદરી તપ એટલે શું કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઊણોદરી તપ કહેવાય.

પ્રશ્નકર્તા : ખોરાકથી જ્ઞાનને કેટલો બાધ આવે ?

દાદાશ્રી : બહુ બાધ આવે. ખોરાક બહુ બાધક છે. કારણ કે આ ખોરાક જે પેટમાં જાય છે, તેનો પછી દારૂ થાય છે ને આખો દહાડો પછી દારૂનો કેફ, મેણો ને મેણો ચઢ્યા કરે છે.

જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે. તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘી- તેલ ના લેવાય, દૂધે ય જરા ઓછું લેવું, પણ દાળ-ભાત-શાક-રોટલી એ બધું નિરાંતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું. દબાણપૂર્વક ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો ના ચઢે અને રાતે ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ.

આવડાં નાનાં નાનાં છોકરાંને મગસ ને ગુંદરપાકને એ બધું ખવડાવે છે, તે પછી એની અસરો બહુ ખરાબ પડે છે, એ બહુ વિકારી થઈ જાય છે. એટલે નાના છોકરાને બહુ ના આપવું જોઈએ, એનું પ્રમાણ સચવાવું જોઈએ.

હું તો ચેતવણી આપું છું કે બ્રહ્મચર્ય પાળવું હોય તો કંદમૂળ ન ખવાય.

પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખવાય ?

દાદાશ્રી : કંદમૂળ ખાવું ને બ્રહ્મચર્ય પાળવું, એ રોંગ ફિલોસોફી છે, વિરોધી છે.

(પા.૪૧)

પ્રશ્નકર્તા : કંદમૂળ નહીં ખાવાનું, જીવહિંસાને લીધે કે બીજું કોઈ કારણ છે ?

દાદાશ્રી : એ કંદમૂળ તો અબ્રહ્મચર્યને જબરજસ્ત પુષ્ટિ આપનારું છે. આવાં નિયમો કરવા પડે કે જેથી એનું આ કેમ બ્રહ્મચર્ય રહે-ટકે.

[13] ન હો અસાર, પુદ્ગલસાર !

બ્રહ્મચર્ય એ શું છે ? એ પુદ્ગલસાર છે. આપણે જે ખાવાનું ખઈએ-પીએ, એ બધાંનો સાર શું રહ્યો ? ‘બ્રહ્મચર્ય’! એ સાર જો તમને જતો રહે તો આત્માનો જે એને આધાર છે, તે આધાર ‘લૂઝ’ થઈ જાય ! એટલે બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ છે. એક બાજુ જ્ઞાન હોય ને બીજી બાજુ બ્રહ્મચર્ય હોય, તો સુખનો પાર જ નહીં ને ! પછી એવું ચેન્જ મારે કે ન પૂછો વાત ! કારણ કે બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે ને ?

આ બધું ખાય છે-પીવે છે, એનું શું થતું હશે પેટમાં ?

પ્રશ્નકર્તા : લોહી થાય.

આ લોહીનું પછી શું થાય ?

પ્રશ્નકર્તા : લોહીનું વીર્ય થાય.

દાદાશ્રી : એમ ! વીર્યને સમજું છું ? લોહીનું વીર્ય થાય, તે વીર્યનું પછી શું થાય ? લોહીની સાત ધાતુઓ કહે છે ને ? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય. દૂધનો સાર એ ઘી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય.

લોકસાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે. એટલે વીર્ય ઊર્ધ્વગામી થાય એવા ભાવ ભાવવા જોઈએ.

(પા.૪૨)

પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહીએ તો એની મેળે ઊર્ધ્વગમન થાય જ ને ?

દાદાશ્રી : હા, અને આ જ્ઞાન જ એવું છે કે આપણા જ્ઞાનમાં રહો તો કશો વાંધો નથી, પણ અજ્ઞાન ઊભું થાય ત્યારે મહીં આ રોગ ઊભો થાય. તે ઘડીએ જાગૃતિ રાખવી પડે. વિષયમાં તો પાર વગરની હિંસા છે, ખાવા-પીવામાં કંઈ એવી હિંસા નથી થતી.

આ જગતમાં સાયન્ટિસ્ટો ને બધા લોકો કહે છે કે વીર્ય-રજ અધોગામી છે. પણ અજ્ઞાનતા છે, તેને લીધે અધોગામી છે. જ્ઞાનમાં તો ઊર્ધ્વગામી થાય છે. કારણ કે જ્ઞાનનો પ્રતાપ છે ને ! જ્ઞાન હોય તો કશો વિકાર જ ના થાય.

પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાય એટલે એમાં શું હોય ?

દાદાશ્રી : આત્માની શક્તિ બહુ વધે.

પ્રશ્નકર્તા : તો આ જે દર્શન છે, જાગૃતિ છે, એ અને આત્મવીર્ય એ બેનું કનેકશન શું ?

દાદાશ્રી : જાગૃતિ એ આત્મવીર્યમાં ગણાય. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરે, પણ વ્યવહાર ખસેડીને ઊંચો મૂકી દે. આત્મવીર્યવાળો તો કહેશે ગમે તે આવોને, એ ગૂંચાય નહીં. પણ હવે એ શક્તિઓ બધી ઉત્પન્ન થશે !

પ્રશ્નકર્તા : એ શક્તિઓ બ્રહ્મચર્યથી ઊભી થાય ?

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય સારી રીતે પળાય ત્યારે અને સહેજ લીકેજ ના થવું જોઈએ. આ તો શું થયું છે કે વ્યવહાર શીખ્યા નથી અને એમને એમ આ બધું હાથમાં આવી ગયું છે !

જ્યાં રુચિ ત્યાં વીર્ય વર્તે આત્માનું. એટલે આ લોકોને રુચિ શેમાં ?

(પા.૪૩)

આઈસ્ક્રીમમાં ખરી, પણ આત્મામાં નહીં.

આ સંસાર ગમે નહીં, બહુ રૂપાળીમાં રૂપાળી ચીજ સ્હેજે ગમે નહીં. પેલું જ, આત્મા તરફ જ ગમ્યા કરે, ગમો બદલાઈ જાય. અને દેહવીર્ય પ્રગટ થાય ત્યારે પેલું આત્માનું ગમે નહીં.

પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાવું કેવી રીતે બને ?

દાદાશ્રી : નિશ્ચય કર્યો હોય ને અમારી આજ્ઞા પાળવાની, ત્યારથી ઉર્ધ્વગતિએ જાય.

વીર્યને એવી ટેવ નથી, અધોગતિમાં જવું. એ તો પોતાનો નિશ્ચય નહીં એટલે અધોગતિમાં જાય છે. નિશ્ચય કર્યો એટલે બીજી બાજુ વળે, અને પછી મોઢા પર બીજા બધાને તેજ દેખાતું થાય અને બ્રહ્મચર્ય પાળતાં મોઢા પર કંઈ અસર ના થઈ, તો ‘બ્રહ્મચર્ય પૂરું પાળ્યું નથી’ એમ કહેવાય.

પ્રશ્નકર્તા : વીર્યનું ઉર્ધ્વગમન શરુ થવાનું હોય તો એનાં લક્ષણો શું ?

દાદાશ્રી : તેજી આવતી થાય, મનોબળ વધતું જાય, વાણી ફર્સ્ટ કલાસ નીકળે. વાણી મીઠાશવાળી હોય. વર્તન મીઠાશવાળું હોય. એ બધું એનું લક્ષણ હોય. એ તો વાર લાગે ઘણી, એમ ને એમ અત્યારે એ ના થાય. અત્યારે એકદમ ના થઈ જાય.

પ્રશ્નકર્તા : સ્વપ્નદોષ કેમ થતાં હશે ?

દાદાશ્રી : ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે એટલે ના સમજીએ કે ઉભરાઈ ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ ! તે કોક ના રાખવો જોઈએ ?

એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં ! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું.

(પા.૪૪)

પ્રશ્નકર્તા : એમાં રાત્રિનો ખોરાક મહત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ.

દાદાશ્રી : રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે.

છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બૂચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરુઆત થાય.

ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તો ય વાંધો નહીં. આપણે જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે, આપઘાત કહેવાય. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડા-અવળું ખાવાનું પરિણામ છે. આવી ડિસ્ચાર્જની કોણ છૂટ આપે ? પેલા ભઈ કહે છે, ડિસ્ચાર્જ ય ન થવો જોઈએ. ત્યારે શું મરી જઉં ? કૂવામાં પડું, કહીએ ?

પ્રશ્નકર્તા : વીર્યનું ગલન થાય છે એ પુદ્ગલ સ્વભાવમાં હોય કે કોઈ જગ્યાએ આપણી લીકેજ હોય છે એટલે થાય છે ?

દાદાશ્રી : આપણે જોઈએ અને આપણી દ્રષ્ટિ બગડી, એટલે વીર્યનો અમુક ભાગ છે તે ‘એક્ઝોસ્ટ’ થઈ ગયો કહેવાય.

પ્રશ્નકર્તા : એ તો વિચારોથી પણ થઈ જાય છે.

દાદાશ્રી : વિચારોથી પણ ‘એક્ઝોસ્ટ’ થાય, દ્રષ્ટિથી પણ ‘એકઝોસ્ટ’ થાય. તે ‘એકઝોસ્ટ’ થયેલો માલ પછી ડિસ્ચાર્જ થયા કરે.

પ્રશ્નકર્તા : પણ આ જે બ્રહ્મચારીઓ છે તેમને તો કંઈ એવા સંજોગો ના હોય, તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે, ફોટા રાખતા નથી, કેલેન્ડર રાખતા નથી, છતાં એમને ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એમનું સ્વાભાવિક ડિસ્ચાર્જ

(પા.૪૫)

ના કહેવાય ?

દાદાશ્રી : તો પણ એમને મનમાં આ બધું દેખાય છે. બીજું, એ ખોરાક બહુ ખાતો હોય અને એનું વીર્ય બહુ બનતું હોય, પછી એ પ્રવાહ વહી જાય એવું ય બને.

વીર્યનું સ્ખલન કોને ના થાય ? જેનું વીર્ય બહુ મજબૂત થઈ ગયું હોય, બહુ ઘટ્ટ થઈ ગયેલું હોય, તેને ના થાય. આ તો બધાં પાતળાં થઈ ગયેલાં વીર્ય કહેવાય.

પ્રશ્નકર્તા : મનોબળથી પણ એને અટકાવી શકાય ને ?

દાદાશ્રી : મનોબળ તો બહુ કામ કરે ! મનોબળ જ કામ કરે ને ! પણ તે જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. એમ ને એમ મનોબળ રહે નહીં ને !

પ્રશ્નકર્તા : સ્વપ્નમાં ડિસ્ચાર્જ જે થાય છે, એ પાછલી ખોટ છે ?

દાદાશ્રી : એનો કોઈ સવાલ નથી. આ પાછલી ખોટો સ્વપ્નાવસ્થામાં બધી જતી રહે. સ્વપ્નાવસ્થા માટે આપણે ગુનેગાર ગણતા નથી. આપણે જાગૃત અવસ્થાને ગુનેગાર ગણીએ છીએ, ઉઘાડી આંખે જાગૃત અવસ્થા ! છતાં પણ સ્વપ્નાં આવે. માટે એને બિલકુલ કાઢી નાખવા જેવું નથી, ત્યાં ચેતતા રહેવું. સ્વપ્નાવસ્થા પછી સવારમાં પસ્તાવો કરવો પડે, એનું પ્રતિક્રમણ કરવું પડે કે આવું ના હો. આપણી પાંચ આજ્ઞા પાળે તો એમાં કોઈ દહાડો વિષય-વિકાર થાય એવું છે જ નહીં.

આ તો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આ બધું ચેતતા રહેવું પડે. વીર્ય ઊર્ધ્વગામી થાય ત્યાર પછી એની મેળે ચાલ્યા કરે. હજુ તો વીર્ય ઊર્ધ્વગામી થયું નથી. હજુ તો એનો અધોગામી સ્વભાવ છે. વીર્ય ઊર્ધ્વગામી થાય, ત્યારે બધું ય ઊંચે ચડે. પછી તો વાણી-બાણી ફક્કડ નીકળે, મહીં દર્શને ય ઊંચી જાતનું ખીલેલું હોય. વીર્ય ઊર્ધ્વગામી થાય પછી વાંધો ના આવે, ત્યાં સુધી તો ખાવા-પીવાનું બહુ નિયમ રાખવા પડે. વીર્ય ઊર્ધ્વગામી થવા માટે તમારે એને મદદ તો કરવી પડે કે એમ ને

(પા.૪૬)

એમ જ ચાલ્યા કરશે ?

બ્રહ્મચર્ય આમ કેટલાંક વરસ જો કદી સચવાઈ ગયું કંટ્રોલપૂર્વક, તો પછી વીર્ય ઊર્ધ્વગામી થાય ને ત્યારે આ શાસ્ત્રો-પુસ્તકો એ બધાં મગજમાં ધારણ કરી શકે. ધારણ કરવું એ કાંઈ સહેલું નથી, નહીં તો વાંચે ને પાછો ભૂલતો જાય.

પ્રશ્નકર્તા : આ પ્રાણાયામ કરે, યોગ કરે, એ બ્રહ્મચર્ય માટે કંઈ હેલ્પફૂલ થઈ શકે ખરું ?

દાદાશ્રી : તે બ્રહ્મચર્ય માટેના ભાવથી કરે તો હેલ્પીંગ થઈ શકે છે. બ્રહ્મચર્ય માટેનો ભાવ હોવો જોઈએ અને તમારે શરીર સારું કરવા માટે કરવું હોય તો એનાથી શરીર સારું થાય. એટલે ભાવ ઉપર બધો આધાર છે. પણ આવા તેવામાં તમે પડશો નહીં, નહીં તો આપણો આત્મા રહી જશે.

બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાયને ત્યારે ગૂંચાય. એક છોકરો મુંઝાતો’તો, મેં કહ્યું, ‘કેમ ભઈ, મુંઝાઉ છું ?’ તમને કહેતાં મને શરમ આવે છે. મેં કહ્યું, ‘શું શરમ આવે છે ? લખીને આપ બળ્યું.’ મોઢે કહેતાં શરમ આવે તો લખીને આપ. ‘મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.’ કહે છે. ‘મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું ! તારી દાનત નથી ને ? તારી દાનત ખોટી છે ?’ ત્યારે કહે, ‘બિલકુલ નહીં, બિલકુલ નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે’ કહ્યું. ત્યારે કહે, ‘પણ આવું થાય ?’ મેં કહ્યું, ભઈ, એ ગલન ન્હોય ? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મુંઝાયને બિચારો ! તો ચોખ્ખું તરત કરી આપું.

હમણે કોઈ વિષયનો વિચાર આવ્યો, તરત તન્મયાકાર થયો એટલે મહીં માલ ખરીને નીચે ગયો. એટલે પછી ભેગો થઈને નીકળી જાય હડહડાટ. પણ વિચાર આવે ને તરત ઉખાડી નાખે તો મહીં ખરે નહીં પછી,

(પા.૪૭)

ઉર્ધ્વગામી થાય. એટલું બધું મહીં વિજ્ઞાન છે આખું !!

પ્રશ્નકર્તા : વિચાર આવતાંની સાથે જ.

દાદાશ્રી : ઓન ધી મોમેન્ટ. બહાર ના નીકળે પણ મહીં અંદર પડી ગયું જુદું એ. બહાર નીકળવા લાયક થઈ ગયું એ શરીરનો માલ રહ્યો નહીં.

પ્રશ્નકર્તા : છૂટું પડી ગયું પછી પ્રતિક્રમણ કરે તો પાછું ઊંચે આવશે કે ઉર્ધ્વગમન ના થાય ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો શું થાય ? કે તમે એનાથી જુદા છો એવો અભિપ્રાય દેખાડે છે કે અમારે એમાં લેવાદેવા નથી.

ભરેલો માલ એ તો નીકળ્યા વગર રહેવાનું નહીં. વિચાર આવ્યો તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે અને જો ટક્યું મહીં, વિષયનો વિચાર જ ના આવ્યો તો ઊર્ધ્વગામી થાય. વાણી-બાણી બધામાં મજબૂત થઈને આવે. નહીં તો વિષયને અમે સંડાસ કહેલું જ છે. બધું ઊભું થાય છે તે સંડાસ થવા માટે જ થાય છે. બ્રહ્મચર્ય પાળે તેને બધું આવે. પોતાને વાણીમાં, બુદ્ધિમાં, સમજણમાં બધામાં આવે, પ્રગટ થાય. નહીં તો વાણી બોલે તો ખીલે નહીં, ઉગેય નહીં ને. એ ઉર્ધ્વગમન થાય તો પછી આ બધી વાણી ફર્સ્ટકલાસ થઈ જાય ને બધી શક્તિઓ ઊભી થાય પછી. આવરણો તૂટી જાય બધા.

વિષયનો વિચાર તો ક્યારે આવે ? આમ જોયું અને આકર્ષણ થયું એટલે વિચાર આવે. કોઈ વખત એવું પણ બને કે આકર્ષણ થયા વગર વિચાર આવે. વિષયનો વિચાર આવ્યો એટલે મનમાં એકદમ મંથન થાય અને સહેજ પણ મંથન થાય એટલે પછી એ સ્ખલન થઈ જ જાય, તરત જ, ઓન ધી મોમેન્ટ. માટે આપણે છોડવો ઊગતાં પહેલાં જ ઉખાડી નાખવો જોઈએ. બીજું બધું ચાલે, પણ આ છોડવો બહુ વસમો હોય. જે સ્પર્શ નુકસાનકર્તા હોય, જે માણસનો સંગ નુકસાનકર્તા હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ. તેથી તો શાસ્ત્રકારોએ એટલું બધું ગોઠવેલું કે આમ સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં એ જગ્યા ઉપર બેસો નહીં, જો બ્રહ્મચર્ય પાળવું હોય તો, અને જો

(પા.૪૮)

સંસારી રહેવું હોય તો ત્યાં તમે તમારે બેસજો, રહેજો.

પ્રશ્નકર્તા : તો ખરેખર તો વિચાર જ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : વિચાર તો આવ્યા વગર રહે નહીં. મહીં ભરેલો માલ છે એટલે વિચાર તો આવે, પણ પ્રતિક્રમણ એનો ઉપાય છે. વિચાર ના આવવો જોઈએ એવું બને તો ગુનો છે.

પ્રશ્નકર્તા : ત્યાં સુધીની સ્ટેજ આવવી જોઈએ એમ ?

દાદાશ્રી : હા, પણ એ વિચાર ના આવવો, એ તો ઘણે કાળે ડેવલપ થતો થતો આગળ આવે છે. પ્રતિક્રમણ કરતો કરતો આગળ જાય, એટલે પછી એને પૂર્ણાહુતિ થાય ને ! પ્રતિક્રમણ કરવા માંડ્યાં એટલે પછી પાંચ અવતારે - દસ અવતારે ય પૂર્ણાહુતિ થઈ જાય ને ! એક અવતારમાં તો ખલાસ ના પણ થાય.

આ તો લોકો જાણતા નથી કે આ વિચાર આવ્યો, તો શું થશે ? આ તો કહેશે કે વિચાર આવ્યો માટે શું બગડી ગયું ? લોકોને ખ્યાલ ના હોય તે વિચારને અને ડિસ્ચાર્જને એ બન્નેને લિંક કેવી રીતે છે. વિચાર જો એમ ને એમ ના આવે, તો બહાર જોવાથી પણ વિચાર ઊભો થાય.

[14] બ્રહ્મચર્ય પમાડે બ્રહ્માંડનો આનંદ !

આ કળિયુગમાં, આ દુષમકાળમાં બ્રહ્મચર્ય પાળવું બહુ મુશ્કેલ છે. આપણું જ્ઞાન છે તે એવું ઠંડકવાળું છે. અંદર કાયમ ઠંડક રહે, એટલે બ્રહ્મચર્ય પાળી શકે. બાકી અબ્રહ્મચર્ય શાથી છે ? બળતરાને લીધે છે. આખો દહાડો કામકાજ કરીને બળતરા, નિરંતર બળતરા ઊભી થઈ છે. આ જ્ઞાન છે એટલે મોક્ષને માટે વાંધો નથી, પણ જોડે જોડે બ્રહ્મચર્ય હોય તો એનો આનંદે ય આવો જ હોય ને ?! હે ય... અપાર આનંદ, એ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! એટલે આવા વ્રતમાં જ જો પાંત્રીસ વર્ષનો એ પિરીયડ કાઢી નાખે, ત્યાર પછી તો અપાર આનંદ ઉત્પન્ન થાય !

(પા.૪૯)

બ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને ? કો’કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે. ઉદયમાં આવે નહીં તો ઉલટો વાંધો પડી જાય, લોચો પડી જાય. બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય દબાય કરીએ તો ય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. તમને કંઈ કોઈએ બાંધ્યા નથી કે તમે વ્રત લો જ !

આ કાળમાં તો બ્રહ્મચર્ય આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો એ પડે ને, તો પોતે તો પડે પણ આપણને પણ નિમિત્ત બનાવે. પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં વીતરાગ ભગવાન પાસે બેઠા હોય તો ત્યાં ય આવે ને આપણને ઉઠાડે ને કહેશે, ‘શું કામ આજ્ઞા આપી હતી ? તમને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું?’ તે વીતરાગની પાસે ય આપણને જંપવા ના દે ! એટલે પોતે તો પડે પણ બીજાને ય ખેંચી જાય. માટે ભાવના કરજે અને અમે તને ભાવના કરવાની શક્તિ આપીએ છીએ. પદ્ધતિસરની ભાવના કરજે, ઉતાવળ ના કરીશ. ઉતાવળ એટલી કચાશ.

જો આ બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ્ત કરીશ અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે.

ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તો ય એ નીકળી જશે.

એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ

(પા.૫૦)

આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે.

જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં, ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ! ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ?! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય !

‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી. છતાં ય આચાર્યપદ પ્રાપ્ત કરવાના ભાવ મહીં હોય ત્યારે ત્યાં બહારનું બ્રહ્મચર્ય જોઈએ, ત્યાં લેડી ના ચાલે.

આ એકલું અબ્રહ્મચર્ય છોડે તો બધું આખું જગત આથમી જાય છે, હડહડાટ ! એક બ્રહ્મચર્ય પાળવાથી તો બધું આખું જગત જ ખલાસ થઈ જાય છે ને ! અને નહીં તો હજારો ચીજો છોડો, પણ એ કશું ભલીવાર આવે નહીં.

જ્ઞાની પુરુષની પાસે ચારિત્ર ગ્રહણ કરે, ખાલી ગ્રહણ જ કર્યું છે, હજી તો પળાયું જ નથી. ત્યારથી તો બહુ આનંદ છૂટે. તને કંઈ આનંદ છૂટ્યો છે ?

પ્રશ્નકર્તા : છૂટ્યો છે ને, દાદા ! તે ઘડીથી જ મહીં આખો ઉઘાડ થઈ ગયો.

દાદાશ્રી : લેતાંની સાથે જ ઉઘાડ થઈ ગયો ને ? લેતી વખતે એનું મન ક્લીયર જોઈએ. એનું મન તે વખતે ક્લીયર હતું, મેં તપાસ કરી હતી. આને ચારિત્ર ગ્રહણ કર્યું કહેવાય ! વ્યવહાર ચારિત્ર ! અને પેલું ‘જોવું’-‘જાણવું’ રાખીએ, તે નિશ્ચય ચારિત્ર ! ચારિત્રનું સુખ જગત સમજ્યું જ નથી. ચારિત્રનું સુખ જ જુદી જાતનું છે.

(પા.૫૧)

પ્રશ્નકર્તા : વિષયથી છૂટ્યો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : એને પછી વિષયનો એકેય વિચાર ના આવે.

વિષયસંબંધી કોઈ પણ વિચાર નહીં, દ્રષ્ટિ નહીં, એ લાઈન જ નહીં. એ જાણે જાણતો જ ના હોય એવી રીતે હોય, એ બ્રહ્મચર્ય કહેવાય.

[15] ‘વિષય’ સામે વિજ્ઞાનની જાગૃતિ !

પ્રશ્નકર્તા : એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે ?

દાદાશ્રી : ‘આપણો’ એમાં વિરોધ હોય, ‘આપણો’ વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. ‘આપણે’ વિષયના સંગમાં ચોંટવું નથી, એટલે ‘આપણો’ વિરોધ તો હોય જ ને ? વિરોધ હોય એ જ છૂટું અને ભૂલેચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : પોતાનો વિરોધ નિશ્ચયે કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવાં આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે ?

દાદાશ્રી : વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં અને તન્મયાકાર થયા તો ‘ગોથું ખાઈ ગયા છે’ એમ કહેવાય. તો એવું ગોથું ખાય, તેના માટે પ્રતિક્રમણ છે જ.

એ તો બેઉ દ્રષ્ટિ રાખવી પડે. એ શુદ્ધાત્મા છે, એ દ્રષ્ટિ તો આપણને છે જ. અને પેલી બીજી દ્રષ્ટિ તો જરા જો આકર્ષણ થાય તો જેમ છે એમ રાખવી જોઈએ, નહીં તો મોહ થઈ જાય.

પુદ્ગલનો સ્વભાવ જો જ્ઞાને કરીને રહેતો હોય, તો તો પછી આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહેતો હોય, એવું હોય જ નહીંને કોઈ માણસને ! પુદ્ગલનો સ્વભાવ અમને તો જ્ઞાને કરીને રહે.

(પા.૫૨)

પ્રશ્નકર્તા : પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહે તો આકર્ષણ ના રહે, એ ના સમજાયું.

દાદાશ્રી : એટલે શું કે કોઈ સ્ત્રીએ કે પુરુષે ગમે તેવાં કપડાં પહેર્યાં હોય તો કપડાં રહિત દેખાય, તે જ્ઞાને કરીને ફર્સ્ટ દર્શન. બીજું, સેકન્ડ દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય અને થર્ડ દર્શન એટલે બધું જ અંદરનું દેખાડે એવું દેખાય. પછી આકર્ષણ રહે ખરું ?

કોઈ સ્ત્રી ઊભેલી હોય તેને જોઈ, પણ તરત દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. છતાં તે પછી દ્રષ્ટિ તો પાછી ત્યાં ને ત્યાં જ જતી રહે, આમ દ્રષ્ટિ ત્યાં જ ખેંચાયા કરે એ ‘ફાઈલ’ કહેવાય. એટલે આટલી જ ભૂલ આ કાળમાં સમજવાની છે.

પ્રશ્નકર્તા : વધારે ફોડ પાડો કે કેવી રીતે દ્રષ્ટિ નિર્મળ કરવી ?

દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ જાગૃતિમાં આવી જાય, પછી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય. ના થઈ હોય તો શબ્દથી પાંચ-દસ વખત બોલીએ કે, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ તો ય પાછું આવી જાય અથવા ‘દાદા ભગવાન જેવો નિર્વિકારી છું, નિર્વિકારી છું’ એમ બોલીએ તો ય પાછું આવી જાય. એનો ઉપયોગ કરવો પડે, બીજું કશું નહીં. આ તો વિજ્ઞાન છે, તરત ફળ આપે અને જરાક જો ગાફેલ રહ્યો તો બીજી બાજુ ઉડાડી મારે એવું છે !

પ્રશ્નકર્તા : જાગૃતિ મંદ એટલે ‘એક્ચ્યુલી’ કેવી રીતે બને છે ?

દાદાશ્રી : એક ફેરો આવરણ આવી જાય એને. એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય, એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ પછી કશું થાય નહીં, કશું વળે નહીં. પાછો ફરી માર ખાય, પછી માર ખાયા જ કરે. પછી મન, વૃત્તિઓ, એ બધું એને

(પા.૫૩)

અવળું સમજાવે કે, ‘આપણને તો હવે કશો વાંધો નથી. આટલું બધું તો છે ને ?’

પ્રશ્નકર્તા : એ શક્તિને રક્ષણ આપનારી શક્તિ એટલે શું ?

દાદાશ્રી : એક ફેરો સ્લિપ થયો, તે સ્લિપ નહીં થવાની જે મહીં શક્તિ હતી તે ઘસાય, એટલે કે એ શક્તિ લપટી પડતી જાય. એટલે પછી બાટલી આમ આડી થઈ કે દૂધ એની મેળે જ બહાર નીકળી જાય, પેલું તો આપણે બૂચ કાઢવો પડતો હતો.

[16] લપસનારાંઓને, ઊઠાડી દોડાવે....

તમારે તો ‘લપસી પડવું નથી’, એવું નક્કી કરવાનું ને લપસી પડ્યા તો પછી મારે માફ કરવાનું. તમારું મહીં વખતે બગડવા માંડે કે તરત મને જણાવો. એટલે એનો કંઈક ઉકેલ આવે ! કંઈ એકદમ ઓછું સુધરી જ જવાનું છે ? બગડવાનો સંભવ ખરો !

એવું છે ને, જે ગુનાનું શું ફળ છે એ જાણીએ નહીં, ત્યાં સુધી એ ગુના થયા કરે છે. કૂવામાં કેમ કોઈ પડતું નથી ? આ વકીલો ગુના ઓછા કરે છે, શાથી ? આ ગુનાનું આ ફળ મળશે, એવું એ જાણે છે. માટે ગુનાનું ફળ જાણવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ કે, ગુનાનું ફળ શું મળશે ? ‘આ ખોટું કરું છું, એનું ફળ શું મળશે ?’ એ તપાસ કરી લાવવી જોઈએ.

જેને દાદાનું નિદિધ્યાસન રહે, તેને બધાં જ તાળાં ઊઘડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિદિધ્યાસન છે !!! બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે, અને ‘જ્ઞાની’ના નિદિધ્યાસનનું સાક્ષાત્ ફળ મળે છે. એ નિદિધ્યાસન, પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપે, તે રૂપ કરી આપે. કારણ કે ‘જ્ઞાની’નું અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે, એટલે તે રૂપ કરી નાખે. ‘જ્ઞાની’નું નિદિધ્યાસન નિરાલંબ બનાવે. પછી ‘આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયાં નહીં.’ એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે, ‘જ્ઞાની’ના નિદિધ્યાસનથી.

(પા.૫૪)

જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ ‘દાદા’ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !!

ચેતતા રહેજો. ને ‘જ્ઞાની પુરુષ’નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં ! પણ તે ઘડીએ ‘દાદા’ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો ‘દાદા’ હાજર થઈ જશે !

તમે ચોખ્ખા છો તો કોઈ નામ દેનાર નથી ! આખી દુનિયા સામી થશે તો ય હું એકલો છું. મને ખબર છે કે તમે ચોખ્ખા છો, તો હું ગમે તેને પહોંચી વળું એવો છું. મને સો ટકાની ખાતરી થવી જોઈએ. તમારાથી તો જગતને ના પહોંચી વળાય, એટલે મારે તમારું ઉપરાણું લેવું પડે છે. માટે મનમાં કશું ય ગભરાશો નહીં, જરા ય ગભરાશો નહીં. આપણે ચોખ્ખા છીએ, તો દુનિયામાં કોઈ નામ દેનાર નથી ! આ દાદાની વાત દુનિયામાં ગમે તે કોઈ કરતું હશે તો આ દાદો દુનિયાને પહોંચી વળે. કારણ કે બિલકુલ ચોખ્ખો માણસ છે, જેનું મન સહેજ પણ બગડેલું નથી.

[17] અંતિમ અવતારમાં ય બ્રહ્મચર્ય તો આવશ્યક !

બ્રહ્મચર્યને તો આખા જગતે ‘એક્સેપ્ટ’ કર્યું છે. બ્રહ્મચર્ય વગર તો કોઈ દહાડો આત્મા પ્રાપ્ત થાય જ નહીં. બ્રહ્મચર્યની વિરુદ્ધ જે હોય, તે માણસને આત્મા કોઈ દહાડો ય પ્રાપ્ત થાય નહીં. વિષય સામે તો નિરંતર

(પા.૫૫)

જાગૃત રહેવું પડે, એક ક્ષણવાર પણ અજાગૃતિ ચાલે નહીં.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યને અને મોક્ષને સાઢું-સહિયારું કેટલું ?

દાદાશ્રી : બહુ લેવાદેવા છે. બ્રહ્મચર્ય વગર તો આત્માનો અનુભવ જ ખબર ના પડે ને ! ‘આત્મામાં સુખ છે કે વિષયમાં સુખ છે’ એ ખબર જ ના પડે ને ?!

પ્રશ્નકર્તા : હવે બે પ્રકારનાં બ્રહ્મચર્ય છે. એક, અપરિણિત બ્રહ્મચર્ય દશા ને બીજો પરણીને પાળતો હોય, તેમાં ઊંચું કયું ?

દાદાશ્રી : પરણીને પાળે તે ઊંચું કહેવાય. પણ પરણીને પાળવું મુશ્કેલ છે. આપણે ત્યાં કેટલાંક પરણીને બ્રહ્મચર્ય પાળે છે, પણ તે ચાલીસ વર્ષ પછીના છે.

પૈણેલાને ય છેવટે દસ-પંદર વર્ષ છોડવું પડશે. બધાંથી મુક્ત થવું પડશે. મહાવીર સ્વામી પણ છેલ્લાં બેંતાલીસ વર્ષ મુક્ત થયા હતા ને ! આ સંસારમાં સ્ત્રી સાથે તો પાર વગરની ઉપાધિ છે. જોડું થયું કે ઉપાધિ વધે. બેનાં મન શી રીતે એક થાય ? કેટલી વાર મન એક થાય ? ચાલોને, કઢી બેઉને સરખી ભાવી, પણ પછી શાકમાં શું ? ત્યાં મન એક થાય નહીં ને દહાડો વળે નહીં. મતભેદ હોય ત્યાં સુખ હોય નહીં.

જ્ઞાની પુરુષને તો ‘ઓપન ટુ સ્કાય’ જ હોય. રાત્રે ગમે તે ટાઈમે એમને ત્યાં જાવ તો ય ‘ઓપન ટુ સ્કાય’ હોય. અમારે તો બ્રહ્મચર્ય પાળવું પડે એવું ય ના હોય. અમારે તો વિષય યાદે ય ના હોય. આ શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! તેથી આવી બ્રહ્મચર્ય સંબંધી વાણી નીકળે ને ! વિષય સામે તો કોઈ બોલ્યા જ નથી. લોક વિષયી છે એટલે લોકે વિષય પર ઉપદેશ જ નથી આપ્યો. અને આપણે તો અહીં આખું પુસ્તક થાય એવું બ્રહ્મચર્યનું બોલ્યા છીએ, તે ઠેઠ સુધી વાત બોલ્યા છીએ. કારણ અમારામાં તો એ પરમાણુ જ ખલાસ થયા, દેહની બહાર અમે રહીએ. બહાર એટલે પાડોશી જેવા નિરંતર રહીએ ! નહીં તો આવી અજાયબી

(પા.૫૬)

મળે જ નહીં ને કોઈ દહાડો ય !

ફળ ખાય પણ પસ્તાવા સાથે ખાય, તો એ ફળમાંથી ફરી બીજ ના પડે અને ખુશીથી ખાય કે ‘હા, આજ તો બહુ મઝા આવી’, તો ફરી પાછું બીજ પડે.

બાકી આમાં તો લપટું પડી જાય. સહેજ ઢીલું મૂક્યું ને ત્યાં લપટું પડી જાય. એટલે ઢીલું મૂકવાનું નહીં. કડક રહેવાનું. મરી જઉં તો ય પણ આ નહીં જોઈએ એવું કડક રહેવું જોઈએ.

અમને તો નાનપણથી આ ગમે નહીં કે લોકોએ એમાં સુખ કેમ માન્યું છે ? તે ય મને એમ લાગે કે આ કઈ જાતનું છે ? અમને તો નાનપણથી આ થ્રી વિઝનની પ્રેક્ટિસ પડી ગયેલી. એટલે અમને તો બહુ વૈરાગ આવ આવ કરે, બહુ જ ચીઢ ચઢે. એવી વસ્તુમાં જ આ લોકોને આરાધના રહે. આ તે કઈ જાતનું કહેવાય ?

પ્રશ્નકર્તા : આ પાછલી જે ખોટો છે, તે નિશ્ચયના આધારે ઉડાડી શકાય ?

દાદાશ્રી : હા, બધી જ ખોટો ઉડાડી શકાય. નિશ્ચય બધું જ કામ કરે.

ઉદય ભારે આવે, ત્યારે તે આપણને હલાવી નાખે. હવે ભારે ઉદયનો અર્થ શો ? કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા હોઈએ અને બહાર કો’ક બૂમાબૂમ કરતો હોય. પછી ભલેને પાંચ લાખ માણસો બૂમો પાડતા હોય કે ‘હમ માર ડાલેંગે’ તેવું બહારથી જ બૂમો પાડતા હોય, તો આપણને શું કરવાના છે ? એ છોને બૂમો પાડે. એવી રીતે જો આમાં ય સ્થિરતા હોય તો કશું થાય એવું નથી, પણ સ્થિરતા ડગે કે પાછું પેલું ચોંટી પડે. એટલે ગમે તેવાં કર્મો આવી પડે ત્યારે સ્થિરતાપૂર્વક ‘આ મારું ના હોય, હું શુદ્ધાત્મા છું’ એમ કરીને સ્ટ્રોંગ રહેવું પડે. પછી પાછું આવે ખરું ને

(પા.૫૭)

થોડી વાર ગૂંચવે. પણ આપણી સ્થિરતા હોય તો કશું થાય નહીં.

આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે તે મન-વચન-કાયાથી પાળે છે. મનથી તો બહારના લોકોથી પળાય જ નહીં. વાણીથી ને દેહથી બધા પાળે. આપણું આ જ્ઞાન છે ને, તેનાથી મનથી પણ પળાય. મન-વચન-કાયાથી જો બ્રહ્મચર્ય પાળે તો એનાં જેવી મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી. એ શક્તિથી પછી અમારી આજ્ઞા પળાય. નહીં તો પેલી બ્રહ્મચર્યની શક્તિ ના હોય તો આજ્ઞા શી રીતે પળાય ? બ્રહ્મચર્યની શક્તિની તો વાત જ જુદી ને ?!

આ બ્રહ્મચારીઓ તૈયાર થાય છે ને આ બ્રહ્મચારિણીઓ ય તૈયાર થાય છે. એમનાં મોઢાં ઉપર નૂર આવશે પછી લિપસ્ટિકો ને પાવડરો ચોપડવાની જરૂર નહીં રહે. હે ય ! સિંહનું બાળક બેઠેલું હોય એવું લાગે. ત્યારે જાણીએ કે ના, કંઈક છે ! વીતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચ્યું તો સિંહણનું દૂધ પચ્યા બરાબર છે, તો સિંહના બાળક જેવો એ લાગે, નહીં તો બકરી જેવું દેખાય !!!

પ્રશ્નકર્તા : આ લોકો પરણવાની ના પાડે છે, તો એ અંતરાય કર્મ ના કહેવાય ?

દાદાશ્રી : આપણે અહીંથી ભાદરણ જઈએ, તેથી કરીને આ બીજા ગામ જોડે આપણે અંતરાય પાડ્યા ? એને જ્યાં અનુકૂળ આવે, ત્યાં એ જાય. અંતરાય કર્મ તો કોને કહેવાય કે તમે છે તે કોઈકને કશુંક આપતા હો, ને હું કહું કે ના, એને આપવા જેવું નથી. એટલે મેં તમને આંતર્યા, તો મને ફરી એવી વસ્તુ મળે નહીં. મને એ વસ્તુના અંતરાય પડે.

પ્રશ્નકર્તા : જો બ્રહ્મચર્ય જ પાળવું હોય તો, એને કર્મ કહી શકાય ?

દાદાશ્રી : હા, એને કર્મ જ કહેવાય ! એનાથી કર્મ તો બંધાય ! જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ કહેવાય ! એ પછી બ્રહ્મચર્ય હોય કે અબ્રહ્મચર્ય હોય. બ્રહ્મચર્યની પુણ્યૈ બંધાય અને અબ્રહ્મચર્યનું પાપ બંધાય !

(પા.૫૮)

પ્રશ્નકર્તા : કોઈ બ્રહ્મચર્યની અનુમોદના આપતું હોય, બ્રહ્મચારીઓને પુષ્ટિ આપે, એમના માટે બધું. બધી રીતે એમને રસ્તો કરી આપે, તો એનું ફળ શું ?

દાદાશ્રી : ફળને આપણે શું કરવું છે ? આપણે એક અવતારી થઈને મોક્ષમાં જવું છે, હવે ફળને ક્યાં રાખવાં ? એ ફળમાં તો સો સ્ત્રીઓ મળે, એવાં ફળને આપણે શું કરવાનાં ? આપણે ફળ જોઈતું નથી. ફળ ખાવું જ નથી ને હવે !

એટલે મને તો એમણે પહેલેથી પૂછી લીધેલું, ‘આ બધું કરું છું, તે મારી પુણ્યૈ બંધાય ?’ મેં કહ્યું, ‘નહીં બંધાય.’ અત્યારે આ બધું ડિસ્ચાર્જ રૂપે છે અને બીજ તો બધાં શેકાઈ જાય છે.

પ્રશ્નકર્તા : આ બધા જે બ્રહ્મચારીઓ થશે, એ ‘ડિસ્ચાર્જ’માં જ ગણાય ને ?

દાદાશ્રી : હા, ડિસ્ચાર્જમાં જ ને ! પણ આ ડિસ્ચાર્જની જોડે એમનો ભાવ છે, તે મહીં ચાર્જ છે. અને ભાવ હોય તો જ મજબૂતી રહે ને ! નહીં તો ડિસ્ચાર્જ હંમેશાં ય મોળું પડી જાય. અને આ એનો ભાવ છે કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે, એનાથી મજબૂતી રહે. આ અક્રમ માર્ગમાં કર્તાભાવ કેટલો છે, કેટલે અંશે છે કે અમે જે આજ્ઞા આપી છે ને, એ આજ્ઞા પાળવી એટલો જ કર્તાભાવ. કોઈ પણ વસ્તુ પાળવી જ પડે, ત્યાં એનો કર્તાભાવ છે. એટલે ‘બ્રહ્મચર્ય પાળવું જ છે.’ આમાં પાળવાનું એ કર્તાભાવ છે, બાકી બ્રહ્મચર્ય એ ડિસ્ચાર્જ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય પાળવું એ કર્તાભાવ છે ?

દાદાશ્રી : હા, પાળવું એ કર્તાભાવ છે. અને આ કર્તાભાવનું ફળ એમને આવતાં અવતારમાં સમ્યક્ પુણ્ય મળશે. એટલે શું કે સહેજે ય મુશ્કેલી સિવાય બધી જ વસ્તુઓ પાસે આવીને પડે અને એમ કરતાં કરતાં મોક્ષે જવાનું. તીર્થંકરોનાં દર્શન થાય ને તીર્થંકરોની પાસે પડી રહેવાનો વખત પણ મળે. એટલે એને બધા સંજોગો બહુ સુંદર હોય.

(પા.૫૯)

પ્રશ્નકર્તા : રવિવારના ઉપવાસ અને બ્રહ્મચારીઓને શું કનેકશન છે ?

દાદાશ્રી : આ રવિવારનો ઉપવાસ શેને માટે કરે છે ? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં, એટલા માટે વિષયનો સામાવાળિયો થયો ત્યારથી જ નિર્વિષયી થયો. આ હું આમને વિષયના સામાવાળિયા જ કરું છું. કારણ કે આમનાથી એમ વિષય છૂટે એવો નથી, આ તો બધાં ચીભડાં કહેવાય, આ તો દુષમકાળનાં ખદબદતાં ચીભડાં કહેવાય. આમનાથી કશું છૂટે નહીં, તેથી તો પછી બીજા રસ્તા કરવાં પડે ને ?

ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે ‘તમે આમ કરો કે તેમ કરો’ એવું કશું બોલાય નહીં, પણ આ તો કાળ એવો છે ! એટલે અમારે આ કહેવું પડે છે. આ જીવોનાં ઠેકાણાં નહીં ને ? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તે ય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે ‘તમે આમ કરો.’ એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી !!!

હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે ? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એંઠવાડો કોણ અડે ? જગતને પ્રિય એવાં જે વિષયો એ જ્ઞાની પુરુષને એંઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટો જ રહેતો હોય, તેને જગત ભગવાન કહ્યા વગર રહે નહીં !!

[18] દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓને !

જગત જાણતું જ નથીને કે આ રેશમી ચાદરથી વીંટેલું છે બધું ? પોતાને જે ગમતો નથી એ જ કચરો, આ રેશમી ચાદરથી વીંટેલો છે. એ તમને લાગે છે કે નથી લાગતું ? એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને ? એટલું ભાન નથી રહેતું. તેથી જ આ જગત આવું ચાલે છે ને ? એવી કોઈને જાગૃતિ હશે આ બહેનોમાંથી ? કોઈ માણસ રૂપાળો દેખાતો

(પા.૬૦)

હોય ને એને છોલે તો શું નીકળે ?

કોઈ છોકરો સારાં કપડાં-બપડાં પહેરીને, નેકટાઈ-બેકટાઈ પહેરીને બહાર જતો હોય, તે મૂઆને કાપે તો શું નીકળે ? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે ? મોહવાળા લોકોને ભાન નથી. તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા ! જ્યારે મને તો બધું ઉઘાડું આરપાર દેખાય.

એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષે સ્ત્રીઓને જોવી ના જોઈએ. કારણ કે એ આપણા કામની નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું ?

એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે, તે તમને કહીં દઉં.

આ ભવમાં ખેંચાણ ના થતું હોય, છતાં કોઈ ભઈને દેખ્યો, તે આપણા મનમાં એવું થાય કે, ‘ઓહોહો, આ ભઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે.’ એવું આપણને થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય.

નિશ્ચય એનું નામ કહેવાય કે ભૂલાય નહીં. આપણે શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો છે, તે ભૂલાય નહીં ને ? થોડી વાર ભૂલી જઈએ, પણ લક્ષમાં જ હોય પાછું, એનું નામ નિશ્ચય કહેવાય.

નિદિધ્યાસન એટલે કે ‘આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે.’ એવો વિચાર કર્યો, એ નિદિધ્યાસન થયું એટલી વાર. વિચાર કર્યો કે તરત જ નિદિધ્યાસન થાય. પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને ? એના કરતાં આંખ નીચે ઢાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખું ય જગત ફસામણ છે. ફસાયા પછી તો છૂટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય, પણ એનો ‘એન્ડ’ જ નથી !

(પા.૬૧)

ધણી, ધણી જેવો હોય કે, તે ગમે ત્યાં જાય તો ય એક ક્ષણ પણ આપણને ના ભૂલે એવો હોય તો કામનું, પણ એવું કોઈ કાળે બને નહીં. તો પછી આ નંગોડ છાપ ધણીને શું કરવાના ?

એટલે આ કાળમાં માણસો પ્રેમભૂખ્યા નથી, વિષયભૂખ્યા છે. પ્રેમભૂખ્યો હોય તેને તો વિષય ના મળે તો ય ચાલે. એવા પ્રેમભૂખ્યા મળ્યા હોય તો તેનાં દર્શન કરીએ. આ તો વિષયભૂખ્યા છે. વિષયભૂખ્યા એટલે શું કે સંડાસ. આ સંડાસ એ વિષયભૂખ છે.

જો કદી લગનીવાળો પ્રેમ હોય તો સંસાર છે, નહીં તો પછી વિષય એ તો સંડાસ છે. એ પછી કુદરતી હાજતમાં ગયું. એને હાજતમંદ કહે છે ને ? જેમ સીતા ને રામચંદ્રજી પૈણેલા જ હતાં ને ? સીતાને લઈ ગયા તો ય રામનું ચિત્ત સીતામાં ને સીતામાં જ હતું ને સીતાનું ચિત્ત ત્યાં રામમાં હતું. વિષય તો ચૌદ વર્ષ જોયો પણ નહોતો, છતાં ચિત્ત એમનામાં હતું. એનું નામ લગ્ન કહેવાય. બાકી, આ તો હાજતમંદો કહેવાય. કુદરતી હાજત !

એટલે ધણી હોય તો ભાંજગડ ને ? પણ જો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો આ વિષયસંબંધી ભાંજગડ જ નહીં ને ! અને આવું જ્ઞાન હોય તો તે કામ કાઢી નાખે !

આ બહેનનો તો નિશ્ચય છે કે ‘એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.’ તો પછી એમને બધાં સાધનો મળી આવ્યાં, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ !

પ્રશ્નકર્તા : અમે પણ એક જ અવતારી થશું ?

દાદાશ્રી : તારે હજુ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં આવ્યા પછી કામ થાય. આજ્ઞા વગરે ય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય !

(પા.૬૨)

આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાંને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને ? એ અમે જલ્દી આપતાં ય નથી. કારણ કે બધાને પાળતાં આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ.

જો તારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આટલું ચેતવાનું કે પરપુરુષનો વિચાર પણ ના આવવો જોઈએ. ને વિચાર આવ્યો ત્યાંથી ધોઈ નાખવું જોઈએ.

એક શુદ્ધચેતન છે અને એક મિશ્રચેતન છે. તે મિશ્રચેતનમાં જો સપડાયો તો આત્મા પ્રાપ્ત કર્યો હોય, તો પણ એને રખડાવી મારે. એટલે આમાં વિકારી સંબંધ થયો તો રઝળપાટ થાય. કારણ કે આપણે મોક્ષે જવું છે અને એ ભાઈ છે, તે જાનવરમાં જવાનાં હોય તો આપણને ત્યાં ખેંચી જાય. સંબંધ થયો એટલે ત્યાં જવું પડે. માટે વિકારી સંબંધ ઊભો જ ના થાય એટલું જ જોવાનું. મનથી ય બગડેલા ના હોય ત્યારે ચારિત્ર કહેવાય. ત્યારે પછી આ બધા તૈયાર થઈ જાય. મન બગડેલાં એ તો પછી ફ્રેકચર થઈ જાય, નહીં તો એક-એક છોકરીમાં કેટલી કેટલી શક્તિ હોય ! એ કંઈ જેવી તેવી શક્તિ હોય ? આ તો હિન્દુસ્તાનની બહેનો હોય અને વીતરાગનું વિજ્ઞાન પાસે હોય, પછી શું બાકી રહે ?

‘જ્ઞાની પુરુષ’ની પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. પછી પોતે કલ્યાણસ્વરૂપ થયો એટલે વગર બોલ્યે લોકોનું કલ્યાણ થાય છે અને જે લોકો બોલ બોલ કરે છે એમાં કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલ બોલ કરવાથી કશું વળતું નથી. બોલવાથી તો બુદ્ધિ ઈમોશનલ થાય છે. એમ ને એમ જ એમનું ચારિત્ર જોવાથી, એ મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય છે. માટે એમણે તો ફક્ત પોતે જ તે રૂપ થઈ જવા જેવું છે ! ‘જ્ઞાની પુરુષ’ની પાસે રહી તે રૂપ થવું. આવી પાંચ જ છોકરીઓ તૈયાર થાય તો કેટલાંય લોકોનું તે કલ્યાણ કરે ! સાવ નિર્મળ થવું જોઈએ, અને ‘જ્ઞાની પુરુષ’ની પાસે નિર્મળ થઈ શકે અને નિર્મળ થવાનાં છે !!

(પા.૬૩)

સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉતરાર્ધ )

ખંડ : ૧ પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[1] વિષય નહીં, પણ નિડરતા એ વિષ ?

છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાને ય મોક્ષે લઈ જશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો’ક મગજની ખુમારીવાળો હોય, તે કહેશે, ‘સાહેબ હું બીજી પૈણવા માગું છું.’ તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી, તો ય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે.

વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. માટે ગભરાશો નહીં. બધાં શાસ્ત્રોએ બૂમ પાડી કે વિષયો એ વિષ છે. શાનું વિષ છે ? વિષય એ વિષ તો હોતો હશે ? વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય જો વિષ હોતને, તો પછી તમે બધા ઘેર રહેતાં હોત અને તમારે મોક્ષે જવું હોય તો મારે તમને હાંકીને મોકલવા પડે કે જાવ અપાસરે, અહીં ઘેર ના પડી રહેશો. પણ મારે કોઈને હાંકવા પડે છે ?

ભગવાને જીવોના બે ભેદ પાડ્યા ; એક સંસારી ને બીજા સિદ્ધ. જે મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે ને બીજા બધા ય સંસારી. એટલે તમે જો ત્યાગી હો તો ય સંસારી છો ને આ ગૃહસ્થ પણ સંસારી જ છે. માટે તમે મનમાં કશું રાખશો નહીં. સંસાર નથી નડતો, વિષય નથી નડતા, કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. એટલા માટે તો મેં પુસ્તકમાં લખ્યું કે વિષયો વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે.

જો વિષયો વિષ હોત તો ભગવાન મહાવીર તીર્થંકર જ ના થાત. ભગવાન મહાવીરને ય દીકરી હતી. એટલે વિષયોમાં નીડરતા એ વિષ છે. હવે મને કંઈ નડવાનું નથી, એવું થયું એ વિષ છે.

(પા.૬૪)

નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓ ય ડર્યા હતા, તો તમે એવાં કેવાં છો કે વિષયથી ડરો નહીં ?! જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલીને એ બધું ભોગવો ખરાં પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધી થઈ પડશે, એટલાં માટે ડરો.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા સ્વરૂપ થયા પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં ? અને તે કેવા ભાવે ? અહીં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : આ વ્યવહાર તો, તમારે પત્ની હોય તો પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ.

હું તમને કહું છું કે આ જે ‘દવા’ (વિષય સંબંધ) છે એ ગળપણવાળી દવા છે માટે દવા હંમેશાં જેમ પ્રમાણથી લઈએ છીએ, એવી રીતે પ્રમાણથી લેજો. લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે, એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય.

આ બધાં જે આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે, વન ટાઈમમાં તો, સમજણ નહીં હોવાથી

(પા.૬૫)

અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?

આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએ ને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી ! બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદ્ઉપયોગ કરવો હોય એ કરજો ! અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે, ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !!

પ્રશ્નકર્તા : વાઈફની ઈચ્છા ના હોય અને હસબંડના ફોર્સથી પીવી પડે દવા, તો શું કરવું ?

દાદાશ્રી : પણ એ તો શું કરે ? કોણે કહ્યું’તું, પૈણ ?

પ્રશ્નકર્તા : ભોગવે તેની ભૂલ. પણ દાદા કંઈક એવું બતાવો ને, એવી કંઈક દવા બતાવો કે જેથી કરીને સામા માણસનું પ્રતિક્રમણ કરીએ, કશું કરીએ તો ઓછું થઈ જાય.

દાદાશ્રી : એ તો આ સમજવાથી, વાત સમજણ પાડવાથી કે દાદાએ કહ્યું છે, કે આ તો પી પી કરવા જેવી ચીજ નથી. જરા પાંસરા ચાલો ને, એટલે છ-આઠ દહાડા મહિનામાં દવા પીવી જોઈએ. આપણું શરીર સારું રહે, મગજ સારું રહે તો ફાઈલનો નિકાલ થાય.

એટલે અમે અક્રમ વિજ્ઞાનમાં તો પોતાની સ્ત્રી સાથેનાં અબ્રહ્મચર્યનાં વ્યવહારને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. પણ તે વિનય પૂર્વકનો અને બહાર કોઈ સ્ત્રીના પર દ્રષ્ટિ ના બગડવી જોઈએ અને દ્રષ્ટિ બગડી હોય તો તરત ભૂંસી નાખવી જોઈએ. તો એને આ કાળમાં અમે બ્રહ્મચારી કહીએ છીએ. બીજી જગ્યાએ દ્રષ્ટિ નથી બગડતી, માટે બ્રહ્મચારી કહીએ છીએ. આને કંઈ જેવું તેવું પદ કહેવાય ? અને પછી લાંબે ગાળે

(પા.૬૬)

એને સમજાય કે આમાં ય બહુ ભૂલ છે ત્યારે હક્કનું પણ છોડી દે.

[2] દ્રષ્ટિ દોષના જોખમો !

અત્યારે તો બધું ઓપન બજાર જ થઈ ગયું છે ને ? એટલે સાંજ પડ્યે દેખાય કે કશો ય સોદો જ નથી કર્યો, પણ એમ ને એમ બાર સોદા લખી નાખ્યા હોય. આમ જોવાથી જ સોદા થઈ જાય ! બીજા સોદા તો થવાના હશે તે થશે, પણ આ તો જોવામાત્રથી જ સોદા થઈ જાય ! આપણું જ્ઞાન હોય તો એવું ના થાય. સ્ત્રી જતી હોય તો એની મહીં તમને શુદ્ધાત્મા દેખાય, પણ બીજા લોકોને શી રીતે શુદ્ધાત્મા દેખાય ?

કોઈને ત્યાં લગનમાં ગયા હોઈએ, તે દહાડે તો આપણે બહુ બધું જોઈએ ને ? સોએક સોદા થઈ જાય ને ? એટલે એવું છે આ બધું ! એ તારો દોષ નથી ! બધા મનુષ્યમાત્રને એવું થઈ જ જાય. કારણ કે આકર્ષણવાળું દેખે એટલે દ્રષ્ટિ ખેંચાઈ જ જાય. એમાં સ્ત્રીઓને ય એવું ને પુરુષોને ય એવું, આકર્ષણવાળું દેખે કે સોદો થઈ જ જાય !

આ વિષયો બુદ્ધિથી દૂર થઈ જાય તેમ છે. મેં વિષયો બુદ્ધિથી જ દૂર કરેલા. જ્ઞાન ના હોય તો ય વિષયો બુદ્ધિથી દૂર થાય. આ તો ઓછી બુદ્ધિવાળા છે, તેથી વિષય રહેલા છે.

[3] અણહક્કની ગુનેગારી !

જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દ્રષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઇચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને ? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તો ય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ?! એને જ પાશવતા કહેવાય.

(પા.૬૭)

હક્કનું ભોગવવાનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : અણહક્કનું ભોગવવા કઈ વૃત્તિ ઢસડી જાય છે ?

દાદાશ્રી : આપણી દાનત ચોર છે, તે વૃત્તિ.

હક્કનું છોડીને બીજી જગ્યાએ ‘પ્રસંગ’ થાય, તો એ સ્ત્રી જ્યાં જાય, ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. ‘ક્યાં અવતાર થશે ?’ તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા, તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કના વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય.

હક્કના વિષયની તો ભગવાને ય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે. પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે.

અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે, જૂઠું થઈ જાય છે, ચોરી તો, આ ઉઘાડી ચોરી કહેવાય. અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે !

આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે.

બહુ જૂજ માણસો છે કે જેને કંઈક આમાં મહત્ત્વતા સમજાયેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી ! મળ્યું કે હરૈયા થઈ જતાં વાર

(પા.૬૮)

ના લાગે. આ શોભે નહીં આપણને ! આપણાં હિન્દુસ્તાનની, કેવી ડેવલપ પ્રજા ! આપણે તો મોક્ષે જવાનું છે !!

અબ્રહ્મચર્ય તો એવું કે આ અવતારમાં સ્ત્રી થયેલી હોય, અગર તો બીજી રખાત હોય તો આવતાં અવતારમાં પોતાની છોકરી થઈને ઊભી રહે એવી આ સંસારની વિચિત્રતા છે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલાને !

(૪) એક પત્નીવ્રત એટલે જ બ્રહ્મચર્ય !

જેણે લગ્ન કરેલું છે, તેને તો એક જ કાયદો અમે કરી આપેલો કે તારે બીજી કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડવાની નહીં. અને વખતે દ્રષ્ટિ એવી થઈ જાય તો પ્રતિક્રમણ વિધિ કરવાની અને નક્કી કરવાનું કે આવું હવે ફરી નહીં કરું. પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોતો નથી, બીજી સ્ત્રી પર જેની દ્રષ્ટિ રહેતી નથી, દ્રષ્ટિ જાય છતાં એના મનમાં વિકારી ભાવ થતો નથી, વિકારી ભાવ થાય તો પોતે ખૂબ પસ્તાવો કરે છે, એને આ કાળમાં એક સ્ત્રી છે છતાં ય બ્રહ્મચર્ય કહેવાય.

આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં સોમાંથી નેવું માણસો એક પત્નીવ્રત પાળતા હતા. એક પત્નીવ્રત અને એક પતિવ્રત; કેવા સારા માણસો કહેવાય એ ! જ્યારે આજે ભાગ્યે જ હજારમાં એક હશે !

પ્રશ્નકર્તા : ધારો કે બે વાઈફ હોય તો, એ શા માટે ખરાબ ?

દાદાશ્રી : કરોને બે વાઈફ. કરવામાં વાંધો નથી. પાંચ વાઈફ કરો તો ય વાંધો નથી. પણ બીજી ઉપર દ્રષ્ટિ બગાડે, બીજી સ્ત્રી જતી હોય, તેની પર દ્રષ્ટિ બગાડે તો ખરાબ કહેવાય. કંઈ નીતિ-નિયમ તો હોવાં જોઈએ ને ?

ફરી પૈણવા માટે વાંધો નથી. મુસલમાનોમાં એક કાયદો કાઢ્યો કે બહાર દ્રષ્ટિ ના બગાડવી જોઈએ. બહાર કોઈને છંછેડવું ના જોઈએ. પણ તમને એક સ્ત્રીથી ના પોષાતું હોય તો બે કરો. એ લોકોએ કાયદો રાખ્યો

(પા.૬૯)

કે ચાર સુધી તમને છૂટ છે ! અને આપણને પોષાતી હોય તો ચાર કરો ને ? કોણ ના પાડે છે ? છો લોકો બૂમો પાડે ! પણ પેલી બાઈને દુઃખ ન હોવું જોઈએ.

આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું, તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ.

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું, તે સૂક્ષ્મથી કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. એક પત્નીવ્રત કે એક પતિવ્રતનો કાયદો હોય, એ લિમિટ કહેવાય.

જેમ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય તેમ આયુષ્ય ઓછું થાય. શ્વાસોચ્છ્વાસ શેમાં વધારે વપરાય ? ભયમાં, ક્રોધમાં, લોભમાં, કપટમાં અને એથી ય વધારે સ્ત્રી સંગમાં. ઘટિત સ્ત્રી સંગમાં તો એકદમ વધારે વપરાય, પણ એથી ય ખૂબ વધારે અઘટિત સ્ત્રી સંગમાં વપરાય. જાણે કે ગરગડી જ એકદમ ઉકલી જાય !

પ્રશ્નકર્તા : દેવોમાં એક પત્નીવ્રત હશે ?

દાદાશ્રી : એક પત્નીવ્રત એટલે કેવું કે આખી જિંદગી એક જ દેવી જોડે પસાર કરવાની. પણ જ્યારે બીજાની દેવી દેખે કે મનમાં એવાં ભાવ થાય કે ‘આપણાં કરતાં પેલી સારી છે’ એવું થાય ખરું, પણ જે છે એમાં કશો ફેરફાર થાય નહીં.

પ્રશ્નકર્તા : આ દેવગતિમાં પુત્રનો સવાલ નથી, છતાં ય ત્યાં વિષય તો ભોગવે જ છે ને ?

(પા.૭૦)

દાદાશ્રી : ત્યાં આવો વિષય ના હોય. આ તો ગંદવાડો નર્યો. દેવ તો અહીં ઊભા ય ના રહે. ત્યાં એમનો વિષય કેવો હોય છે ? ખાલી દેવી આવે કે એને જુએ, એટલે એમનો વિષય પૂરો થઈ ગયો, બસ ! કેટલાંક દેવલોકને તો એવું હોય છે કે બેઉ આમ હાથ અડાડે કે સામસામી બેઉ જણા હાથ દબાવી રાખે તો એ વિષય પૂરો થઈ જાય. દેવલોકો ય જેમ જેમ ઊંચે ચઢે, તેમ તેમ વિષય ઓછો થતો જાય. કેટલાંક તો વાતચીત કરે કે વિષય પૂરો થઈ ગયો. જેને સ્ત્રીનો સહવાસ ગમે છે એવાં ય દેવલોકો છે અને જેને ખાલી સ્ત્રી અમથી એક કલાક ભેગી થાય એટલે બહુ આનંદ થાય એવાં ય દેવલોકો છે અને કેટલાંક એવાં દેવલોકો ય છે કે જેમને સ્ત્રીની જરૂર જ નથી હોતી. એટલે બધી જાતના દેવલોકો છે.

[5] અણહક્કના વિષયભોગો, નર્કનું કારણ !

પરસ્ત્રી અને પરપુરુષ એટલે પ્રત્યક્ષ નર્કનું કારણ છે. નર્કે જવું હોય તો ત્યાં જવાનો વિચાર કરો. અમારે એનો વાંધો નથી. તમારે અનુકૂળ હોય તો એ નર્કના દુઃખનું વર્ણન કરું, તે સાંભળતા જ તાવ ચઢી જશે તો ત્યાં એ ભોગવતાં તારી શી દશા થશે ? બાકી પોતાની સ્ત્રીનો તો કોઈ વાંધો નથી.

પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. એટલું પાપરહિત પરિણામ કહેવાય. ત્યારે આમાં બીજાં પાપ બધાં બહુ છે. એક જ ફેરો વિષય કરવાથી કરોડો જીવ મરી જાય છે. એ કંઈ ઓછાં પાપ છે ?! પણ તો ય એ પરસ્ત્રી જેવું મોટું પાપ ના કહેવાય.

પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?

દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ.

(પા.૭૧)

શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી.

આપણે અહીં આ સત્સંગમાં એવો દગાફટકાનો વિચાર આવે તો હું બોલું કે આ મીનીંગલેસ વાત છે. અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું કાઢી મેલીશ.

આ વર્લ્ડમાં ગમે તેવાં ગુના કર્યા હોય, ગમે તેવાં ગુના લઈને આવે તો ય, જો ફરી જિંદગીમાં ના કરવાનો હોય, તો બધી રીતે ચોખ્ખો હું કરી આપું.

તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને !

પ્રશ્નકર્તા : બહુ જ થાય છે.

દાદાશ્રી : પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, ‘અમારું શું થશે ?’ મેં કહ્યું, ‘અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.’ જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.

પારકી સ્ત્રી જોડે ફરીએ તો લોકો આંગળી કરે ને ? એટલે આ સમાજવિરોધક છે અને બીજું તો અંદર બહુ જાતની ઉપાધિ થાય છે. નર્કની વેદનાઓ એટલે ઇલેક્ટ્રિક ગેસમાં ઘણાં કાળ સુધી બળ્યા કરવાનું ! એક ઇલેક્ટ્રિક ગરમીની વેદનાવાળી નર્ક છે અને બીજી ઠંડીની વેદનાવાળી નર્ક છે. ત્યાં એટલી બધી ઠંડી છે કે આપણે પાવાગઢ પર્વત નાખીએ તો એનો પથરો આવડો મોટો ના રહે, પણ એના કણેકણ છૂટા પડી જાય !

પણ પરસ્ત્રીના જોખમમાં તો કેટલાં કેટલાં જોખમ ઊભાં રહ્યાં છે !

(પા.૭૨)

એ જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને મા નીચી નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો !! પ્રકૃતિ વિષયી નથી, એ વાત મેં બીજી રીતે કહેલી. પણ આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે.

પ્રશ્નકર્તા : બન્ને પાર્ટીને સંમત હોય તો જોખમ ખરું ?

દાદાશ્રી : સંમતિ હોય તો ય જોખમ છે. બન્ને સામસામે ખુશી હોય એમાં શું દહાડો વળ્યો ? એ જ્યાં જવાની હોય ત્યાં આપણે જવું પડે. આપણે મોક્ષે જવું છે ને એના ધંધા આવાં છે. તો આપણી શી દશા થાય ? ગુણાકાર ક્યારે મળે ? એટલાં માટે દરેક શાસ્ત્રકારોએ દરેક શાસ્ત્રમાં વિવેકને માટે કહેલું છે કે પૈણજો. નહીં તો આ રખડેલ ઢોર હોય તો કોને ઘેર સાવધાની રહે ? પછી ‘સેફસાઈડ’ જ શું રહે ? કઈ જાતની સેફસાઈડ રહે ? તું કેમ બોલતો નથી ? પાછલી ચિંતામાં પડી ગયો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હું તને ધોઈ આપીશ. અમારે તો એટલું જોઈએ છે કે અત્યારે અમને ભેગા થયા પછી કોઈ ડખલ નથી ને ? પાછલી ડખલ હોય, તો તેને છોડવા માટે અમારી પાસે બહુ જાતના આંકડા છે. તારે મને ખાનગીમાં કહી દેવાનું. હું તને તરત ધોઈ આપીશ. કળિયુગમાં માણસની શું ભૂલ ના થાય ! કળિયુગ છે અને ભૂલ ના થાય, એવું બને જ નહીં ને ?!

એકની જોડે ડાયવોર્સ લઈને બીજી જોડે લગ્ન કરવાની ઇચ્છા હશે તેનો વાંધો નથી, પણ લગ્ન હોવું જોઈએ. એટલે એની બાઉન્ડ્રી હોવી

(પા.૭૩)

જોઈએ. ‘વિધાઉટ એની બાઉન્ડ્રી’ એટલે હરૈયા ઢોર કહેવાય. પછી એમાં અને મનુષ્યમાં ફેર નથી.

પ્રશ્નકર્તા : રખાત રાખી હોય તો ?

દાદાશ્રી : રખાત રાખી હોય, પણ તે રજિસ્ટર્ડ હોવું જોઈએ. પછી બીજી ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : એમાં રજિસ્ટર કરાય નહીં, કરે તો મિલકતમાં ભાગ માંગે, અનેક લફરાં થાય.

દાદાશ્રી : મિલકત તો આપવી પડે, જો આપણને સ્વાદ જોઈતો હોય તો ! પાંસરા રહોને એક અવતાર, આમ શું કરવાને કરો છો ? અનંત અવતાર સુધી આવું ને આવું કર્યું ! એક અવતાર પાંસરા રહોને ! પાંસરું થયા વગર છૂટકો નથી. સાપે ય દરમાં પેસતી વખતે સીધો થાય કે વાંકો ચાલે ?

પ્રશ્નકર્તા : સીધો ચાલે. હવે પરસ્ત્રીમાં જોખમ છે, એ ખોટું છે એવું આજે જ સમજાય છે. અત્યાર સુધી તો આમાં શું ખોટું છે ? એવું જ રહેતું હતું.

દાદાશ્રી : તમને કોઈ અવતારમાં કોઈએ ‘આ ખોટું છે’ એવો અનુભવ નથી કરાવ્યો, નહીં તો આ ગંદવાડમાં કોણ પડે ? પાછી નર્કની જવાબદારી આવે !

આપણું આ વિજ્ઞાન મળ્યા પછી હાર્ટિલી પસ્તાવો કરે તો ય બધાં પાપો બળી જાય. બીજા લોકોનાં પણ પાપો બળી જાય, પણ આખું ના બળી જાય. આપણે તો આવું વિજ્ઞાન મળ્યા પછી, એ વિષય ઉપર ખૂબ પસ્તાવો રાખ્યા કરે, તો પછી પાર નીકળી જાય !

પ્રશ્નકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ

(પા.૭૪)

જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું.

દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું, તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણાં પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી ભૂલ-થાપ ખઈ જાય. એને દવા ના પીવી હોય.... અને ના જ પીવાની હોય. છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો આપણે એનાં જવાબદાર.

આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લિપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં થઈ જાય. આ બહુ ઝીણી વાત છે. સમજાય એવું નથી.

એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે. ફક્ત એકલાં જ વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, શાથી માની લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે, ‘એમાં ખોટું શું છે ?’ એનાં મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, ‘તું બહુ સરસ છે. તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી.’ એને કહીએ કે ‘તું રૂપાળી છું.’ તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું. મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય.... બહુ સમજાતું નહીં ને ?! થોડું થોડું ?

પ્રશ્નકર્તા : સમજાય છે, કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે.

દાદાશ્રી : પુરુષ જ જવાબદાર છે. સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં

(પા.૭૫)

પુરુષ જ જવાબદાર છે.

ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના. ‘મને મારો ધણી છે, ધણીવાળી છું.’ એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય, એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો’ક ફેરો આવે છે, સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણાં લોક !!

એ સતી થવાની ઈચ્છાથી. એનું નામ લીધું હોય તો કો’ક દહાડો સતી થાય અને આજે વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?

પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.

દાદાશ્રી : કયા બજારમાં ? કોલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય !

સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.

પ્રશ્નકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે ?

દાદાશ્રી : સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી સતી હોય એટલે એને કશું પહેલાંનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાંનાં ડાઘ રહી જાય અને ફરી પાછાં પુરુષ થાવ. સતીપણાથી બધું ખલાસ થઈ જાય.

(પા.૭૬)

જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે.

પ્રશ્નકર્તા : હા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.

દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઈન્ટરેસ્ટ આવે છે. ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં, એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એનાં ધણી, એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તો ય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય.

આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તો ય આમ શંકા. ‘વાઈફ’ ઉપરે ય શંકા. એવો બધો દગો ! ઘરમાં ય દગો જ છે ને, અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે ? તે ય ભાન વગર બેભાનપણે !

પ્રશ્નકર્તા : પણ શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ?

દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે, તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત, કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર્યસંબંધી કોઈને જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રીચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી

(પા.૭૭)

સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય.

પ્રશ્નકર્તા : આ ચારિત્ર્યમાં તો આમ જ હોય એ જાણીએ. છતાં ય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય. ત્યાં ક્યું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ?

દાદાશ્રી : આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું ‘ફોરેન ડીપાર્ટમેન્ટ’નું છે. આપણે ‘હોમ’માં રહેવું. આત્મામાં રહોને ! આવું ‘જ્ઞાન’ ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની ‘વાઈફ’ પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તેં જોયું, તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણાં લોક તો પકડાય, તેને ચોર કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે.

તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે ‘ચાર્જ’ થઈ ગયેલું, તેનું જ ‘ડિસ્ચાર્જ’ છે ! જગત ચોખ્ખું ‘ડિસ્ચાર્જ’મય છે. ‘ડિસ્ચાર્જ’ની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએ ને, ‘ડિસ્ચાર્જ’મય છે એટલે કોઈ ગુનેગાર નથી.

પ્રશ્નકર્તા : એટલે એમાં ય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ?

દાદાશ્રી : હા. કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો.

માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય, તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી કે જેથી જેનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, ‘મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.’ એટલે એ તમને ‘સિન્સીયર’ રહે, બહુ ‘સિન્સીયર’ રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે !

(પા.૭૮)

વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ યે ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું.

આ લોક તો કેવાં છે ? કે જ્યાં ‘હોટલ’ દેખે, ત્યાં ‘જમે.’ માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હોટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષે ય એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે.

પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે !! તો પણ સ્ત્રીઓ જીતે છે. કેમ કે આ પુરુષોને કપટ નહીં ને ! તેથી પુરુષો સ્ત્રીઓથી છેતરાઈ જાય !!

એટલે જ્યાં સુધી ‘સિન્સીયારિટી-મોરાલિટી’ છે, ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની ‘વાઈફ’ની વાત કહી દઉં, તો કોઈ પોતાની ‘વાઈફ’ પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશું ય કહું-કરું નહીં. જો કે પુરુષે ય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન, બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.

અને આ લોક તો ‘વાઈફ’ સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે.

એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઈફ’ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું !

પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું !

દાદાશ્રી : તો પછી શું કરવું ?

પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો જે કરે

(પા.૭૯)

તે ‘વ્યવસ્થિત’.

દાદાશ્રી : હા, બરોબર છે.

[6] વિષય બંધ, ત્યાં ડખાડખી બંધ !

આ જગતમાં લઢવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. ફક્ત ઝઘડા ક્યાં સુધી હોય ? એક વિષય છે ત્યાં સુધી ! પછી ‘મારી-તારી’ કરવા માંડે, ‘આ બેગ તારી ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી ?’ એ ઝઘડા વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટાં થયા પછી આપણી બેગમાં મૂકે તો ય વાંધો નથી. એ ઝઘડા ના થાયને, પછી ? પછી કોઈ ઝઘડો નહીં ને ?

પ્રશ્નકર્તા : પણ આપણને આ બધું જોઈને કંપારી છૂટી જાય. પાછું એમ થાય કે રોજ ને રોજ આવા જ ઝઘડા ચાલ્યા કરે, છતાં ધણી-બૈરીને આનો ઉકેલ લાવવાનું મન ના થાય, એ અજાયબી છે ને ?

દાદાશ્રી : એ તો કેટલાંય વર્ષોથી પૈણ્યા ત્યારથી આવું ચાલે છે. પૈણ્યા ત્યારથી એક બાજુ ઝઘડાં ય ચાલુ છે અને એક બાજુ વિષયે ચાલુ છે ! તેથી તો અમે કહ્યું કે તમે બન્ને બ્રહ્મચર્ય વ્રત લઈ લો, તો ઉત્તમ લાઈફ થઈ જાય. એટલે આ બધી વઢવાડ પોતાની ગરજના માર્યા કરે છે. પેલી જાણે કે એ છેવટે ક્યાં જવાના છે ?! પેલો ય જાણે કે એ ક્યાં જવાની છે ? આમ સામસામી ગરજથી ઊભું રહ્યું છે.

વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે ! એવું જ્યારે સમજાય ત્યારે પછી વિષયનો મોહ છૂટે અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો. વીતરાગો જ વાતને સમજી ગયેલા ! એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી ! નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોતજોતામાં લટ્ટુ બનાવી દે, એવી એ શક્તિ ધરાવે છે. એને જ સ્ત્રી ચરિત્ર

(પા.૮૦)

કહ્યું ને ! સ્ત્રીથી તો છેટા જ રહેવું. એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગડ કેટલાંય અવતારથી થઈ છે ને !

સ્ત્રીઓ ધણીને દબડાવે છે, એનું શું કારણ ? પુરુષ બહુ વિષયી હોય, એટલે દબડાવે. આ સ્ત્રીઓ જમવાનું જમાડે છે તેથી દબડાવતી નથી, વિષયથી દબડાવે છે ! જો પુરુષ વિષયી ના હોય તો કોઈ સ્ત્રી દબડાવે જ નહીં ! નબળાઈનો જ લાભ લે, પણ જો નબળાઈ ના હોય તો સ્ત્રી કશું નામ જ ના દે. સ્ત્રી જાતિ બહુ કપટવાળી છે અને આપણે ભોળા ! એટલે આપણે બે-બે, ચાર-ચાર મહિનાનો કંટ્રોલ રાખવો પડે, તો પછી એ એની મેળે થાકી જાય. તે એને પછી કંટ્રોલ રહે નહીં.

સ્ત્રી જાતિ વશ ક્યારે થાય ? આપણે વિષયમાં બહુ સેન્સિટિવ હોઈએ તો, એ આપણને વશ કરી નાખે ! પણ આપણે વિષયી હોઈએ પણ એમાં સેન્સિટિવ ના થઈએ તો એ વશ થાય ! જો એ ‘જમવા’ બોલાવે તો તમે કહો કે હમણાં નહીં, બે-ત્રણ દિવસ પછી, તો એ તમારા વશ રહે ! નહીં તો તમે વશ થાઓ ! આ વાત હું પંદર વર્ષે સમજી ગયો હતો. કેટલાંક તો વિષયની ભીખ માગે કે ‘આજનો દિવસ !’ અલ્યા, વિષયની ભીખ મંગાય ? પછી તારી શી દશા થાય ? સ્ત્રી શું કરે ? ચઢી બેસે ! સિનેમા જોવા જાઓ તો કહેશે, ‘છોકરું ઊંચકી લો.’ આપણાં મહાત્માઓને વિષય હોય, પણ વિષયની ભીખ ના હોય !!

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો, ભાંજગડ તો નહીં ! આ હારું, ચાર વખત સાષ્ટાંગ !

પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા’તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે. તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તો ય અથડામણ.

દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી

(પા.૮૧)

બાબત છે, સંબંધ છે ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો, તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ય ના દે. એનો પ્રભાવ પડે.

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું ‘હીરાબા’ કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત-અનુભવ કહીએ છીએ.

વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.

વિષયમાં ઘૃણા ઉત્પન્ન થાય તો જ વિષય બંધ થાય. નહીં તો વિષય શી રીતે બંધ થાય ?

[7] વિષય એ પાશવતા જ !

પણ અમારા વખતની એ પ્રજા એક બાબતમાં બહુ સારી હતી. વિષય વિચાર નહીં. કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ નહીં. હોય, સેકડે પાંચ-સાત ટકા માણસ એવા હોય ખરાં. તે ફક્ત રાંડેલીઓ જ ખોળી કાઢે. બીજું કશું નહીં. જે ઘરે કોઈ રહેતું ના હોય ત્યાં. રાંડેલી એટલે વર વગરનું ઘર એમ કહેવાય. અમે ચૌદ-પંદર વર્ષનાં થયાં, ત્યાં સુધી છોકરીઓ જુએ તો બેન કહીએ. બહુ છેટેની હોય તો ય. એ વાતાવરણ એવું હોય. કારણ કે દસ-અગિયાર વર્ષનાં હોય ત્યાં સુધી તો દિગંબરી ફરતા !

એટલે વિષયનો વિચાર જ ના આવે. એટલે ભાંજગડ નહીં. તે વિષયની જાગૃતિ જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એટલે ?

(પા.૮૨)

દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહીં. મા-બાપનું વલણ, સંસ્કાર ! ત્રણ વર્ષનું છોકરું એ ના જાણતું હોય કે મારાં મા-બાપને આવો કંઈ સંબંધ છે. એટલી બધી સુંદર સિક્રસી હોય ! અને એવું હોય તે દહાડે છોકરાં બીજા રૂમમાં સૂતાં હોય. એ મા-બાપનાં સંસ્કાર. અત્યારે તો પેણે બેડરૂમ ને પેણે બેડરૂમ. પાછાં ડબલબેડ હોય છે ને ?

અને કોઈ પુરુષ તે દહાડે એક પથારીમાં સ્ત્રી જોડે સૂવે નહીં. કોઈ ના સૂવે. તે દહાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સૂઈ જાય તો તે સ્ત્રી થઈ જાય, એના પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કો’ક અક્કલવાળાએ શોધખોળ કરી. તે ડબલબેડ વેચાયા જ કરે ! એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર બધા જતા રહ્યા. હવે ડાઉન થયેલાંને ચઢાવતાં વાર નહીં લાગે.

અલ્યા, આ ડબલબેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતાં જ નહી ! હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા. તેને બદલે આ જો તો ખરાં ! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલ બેડ ! તે પેલાં સમજી ગયાં કે આ દુનિયા આવી જ પ્રથાથી ચાલ્યા કરે છે. એ બધું મેં જોયેલું આ.

એ સ્ત્રીઓનો સંગ જો પંદર દહાડા મનુષ્ય છોડેને, મનુષ્ય પંદર દહાડા છેટો રહે, તો ભગવાન જેવો થઈ જાય.

એકાંત શૈયાસન એટલે શું ? કે શૈયામાં કોઈ જોડે નહીં ને આસનમાં ય કોઈ જોડે નહીં. સંયોગી ‘ફાઈલો’નો કોઈ જાતનો સ્પર્શ નહીં. એ શાસ્ત્રકારો તો એટલે સુધી માનતા હતા કે જે આસન પર આ પરજાતિ બેઠી, તે આસન ઉપર તું બેસીશ તો તને એનો સ્પર્શ થશે, વિચારો આવશે.

પ્રશ્નકર્તા : વિષયદોષથી કર્મનું બંધન થાય છે, એ કેવા સ્વરૂપનું હોય છે ?

દાદાશ્રી : જાનવરના સ્વરૂપનું. વિષયપદ જ જાનવર પદ છે. પહેલાં

(પા.૮૩)

તો હિન્દુસ્તાનમાં નિર્વિષયી-વિષય હતો. એટલે કે એક પુત્રદાન પૂરતો જ વિષય હતો.

પ્રશ્નકર્તા : દાદા બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપે છે અને એમ કે અબ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે છે. પણ આમ કરીએ તો સૃષ્ટિ ઉપરથી માનવોની સંખ્યા પણ ઘટશે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે ?

દાદાશ્રી : આટલાં બધા ઓપરેશન કરવાથી સંસાર ઘટતો નથી, તે બ્રહ્મચર્ય પાળવાથી શું ઘટશે ?! એ સંસાર ઘટાડવા માટે તો ઓપરેશન કરે છે પણ તો ય ઘટતો નથી ને ! બ્રહ્મચર્ય તો મોટું સાધન છે.

પ્રશ્નકર્તા : આ નેચરલ જે પ્રોસેસ છે, એ પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ એવું ના કહેવાય ?

દાદાશ્રી : નેચરલ પ્રોસેસ છે નહીં, આ તો પાશવતા છે. નેચરલ પ્રોસેસ છે નહીં, માણસમાં જો નેચરલ પ્રોસેસ હોય તો બ્રહ્મચર્ય પાળવાનું હોય જ નહીં ને ! આ જાનવર બ્રહ્મચર્ય પાળે છે બિચારા, પછી અમુક સિઝન પૂરતાં જ પંદર-વીસ દહાડા વિષય, પછી કશું જ નહીં.

[8] બ્રહ્મચર્યની કિંમત, સ્પષ્ટ વેદન - આત્મસુખ

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી બ્રહ્મચર્યની આવશ્યકતા ખરી કે નહીં ?

દાદાશ્રી : બ્રહ્મચર્યની આવશ્યકતા તો જે પાળી શકે, તેને માટે ખરી ને ના પાળી શકે, તેને માટે નહીં. જો આવશ્યકતા જ હોય તો તો બ્રહ્મચર્ય ના પાળનારા માણસોને આખી રાત ઊંઘ જ ના આવે, કે આ તો હવે આપણો મોક્ષ જતો રહેશે. અબ્રહ્મચર્યને ખોટું છે, એવું જાણે તો ય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : ફિલોસોફરો એમ કહે છે કે સેક્સને દબાવવાથી વિકૃત બને છે. સેક્સ આરોગ્ય માટે જરૂરી છે.

દાદાશ્રી : એની વાત સાચી છે, પણ અજ્ઞાનીને સેક્સની જરૂર છે.

(પા.૮૪)

નહીં તો શરીર ઉપર આઘાત પડશે. જે બ્રહ્મચર્યની વાતને સમજે છે, તેને સેક્સની જરૂર નથી અને અજ્ઞાની માણસને જો કદી આ બાંધીએ તો શરીર તૂટી જાય, ખલાસ થઈ જાય.

આ વિષય વસ્તુ એવી છે કે એક જ દહાડાનો વિષય ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારની એકાગ્રતા ના થવા દે, એકાગ્રતામાં હાલમ-ડોલમ થયા કરે. જ્યારે મહિના સુધી વિષય ના સેવે, તો એની એકાગ્રતામાં હાલમ-ડોલમ ના થાય.

અબ્રહ્મચર્ય અને દારૂ, એ તો જ્ઞાનને બહુ આવરણ લાવનારી વસ્તુ છે. માટે બહુ જ જાગૃત રહેવું. દારૂ તો એવું છે ને, ‘હું ચંદુભાઈ છું’ એ જ ભાન ભૂલી જાય છે ને ! તો પછી આત્મા તો ભૂલી જ જવાય ને ! આથી ભગવાને ડરવાનું કહ્યું છે. જેને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય, એને ના અડે, છતાં ભગવાનના જ્ઞાનને ય ઉખાડીને બહાર નાખી દે ! એટલું બધું એમાં જોખમ છે !

જેને સંપૂર્ણ થવું હોય, તેને તો વિષય હોવો જ ના જોઈએ અને તે ય એવો નિયમ નથી. એ તો છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ છૂટી ગયું હોય, તો બસ થઈ ગયું. આની કંઈ ભવોભવ કસરત કરવાની જરૂર નથી કે ત્યાગ લેવાની ય જરૂર નથી. ત્યાગ સહજ હોવો જોઈએ કે એની મેળે જ છૂટી જાય ! નિયાણું એવું રાખવું કે મોક્ષે જતાં સુધી જે બે-ચાર અવતાર થાય, તે પૈણ્યા વગરના જાય તો સારું. એનાં જેવું એકેય નહીં.

હવે એ સ્પષ્ટવેદન ક્યાં સુધી ના થાય ? જ્યાં સુધી આ વિષય-વિકાર ના જાય, ત્યાં સુધી સ્પષ્ટવેદન ના થાય. એટલે આ આત્માનું સુખ છે કે આ કયું સુખ છે, તે ‘એક્ઝેક્ટ’ ના સમજાય. બ્રહ્મચર્ય હોય તો ‘ઓન ધી મોમેન્ટ’ સમજાઈ જાય. સ્પષ્ટવેદન થાય એટલે એ પરમાત્મા જ થઈ ગયો કહેવાય !

[9] લો વ્રતનો ટ્રાયલ !

અમે તમને ચેતવ ચેતવ કરીએ. પણ ચેતવું બહુ સહેલું નથી બા !

(પા.૮૫)

છતાં અમથા અખતરા કરતા હોય ને, કે આ મહિનામાં ત્રણ દહાડા કે પાંચ દહાડા અને જો અઠવાડિયું કરે તો તો બહુ સુંદર પોતાને ખબર પડે, અઠવાડિયાના વચલા દિવસે તો એટલો બધો આનંદ આવે ! આત્માનું સુખ ને સ્વાદ આવે, કેવું સુખ છે તે !

કેટલાંક માણસો કહે છે, વિષય આમ મને છૂટતો નથી. મેં કહ્યું, એમાં શું ગાંડા કરે છે, થોડો થોડો નિયમ લે ને ! એ નિયમમાં, પછી નિયમ છોડીશ નહીં. આ કાળમાં તો નિયમ ના કરે એ તો ચાલે જ નહીં ને ! થોડાંક હોલ તો રાખવાં જ પડે. ના રાખવા પડે ?

પ્રશ્નકર્તા : પણ પુરુષની ઇચ્છા બ્રહ્મચર્ય પાળવાની હોય અને સામે પક્ષે સ્ત્રીની ન હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : ના હોય તો એને શું વાંધો છે તે ?! સમજાવી દેવાનું.

પ્રશ્નકર્તા : કેવી રીતે સમજાવવું ?

દાદાશ્રી : એ તો સમજાવતાં સમજાવતાં રાગે પડે ધીમે ધીમે, એકદમ બંધ ના થાય. સમજાવતાં, સમજાવતાં. બેઉ સમાધાનપૂર્વક માર્ગ લો ને ! આમાં શું નુકસાન છે એ બધી વાતો કરીએ ને એવાં વિચારો કરીએ.

મોક્ષે જવું હોય તો વિષય કાઢવો પડશે. હજારેક મહાત્માઓ છે, વર્ષ વર્ષ દહાડાનું વ્રત લે છે. ‘વર્ષ દહાડાનું મને આપજો વ્રત.’ કહે છે. વર્ષ દહાડામાં એને ખબર પડી જાય.

અબ્રહ્મચર્ય એ અનિશ્ચય છે. અનિશ્ચય છે એ ઉદયાધીન નથી.

હું તો ચાર-પાંચ જણને પૂછીને તો સજ્જડ થઈ ગયો. મેં કહ્યું, ભઈ, આવી પોલ તો ના ચાલે, અનિશ્ચય છે આ તો. એ તો કાઢવી જ પડે. બ્રહ્મચર્ય તો પહેલું જોઈએ. આમ નિશ્ચયથી તમે બ્રહ્મચારી જ છો પણ વ્યવહારથી ના થવું જોઈએ ?

બ્રહ્મચર્યનો અને અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી, તેને બ્રહ્મચર્ય

(પા.૮૬)

વ્રત વર્તાયું કહેવાય. આત્મામાં નિરંતર રહેવું, એ અમારું બ્રહ્મચર્ય છે. છતાં અમે આ બહારના બ્રહ્મચર્યનો સ્વીકાર નથી કરતા એવું નથી. તમે સંસારી છો એટલે મારે કહેવું પડે કે અબ્રહ્મચર્યનો વાંધો નથી, પણ અબ્રહ્મચર્યનો અભિપ્રાય તો ન જ હોવો જોઈએ. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ હોવો જોઈએ. અબ્રહ્મચર્ય એ આપણને નિકાલી ‘ફાઈલ’ છે. પણ હજુ એમાં અભિપ્રાય વર્તે છે અને એ અભિપ્રાયથી ‘જેમ છે તેમ’ આરપાર જોઈ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી. કારણ એ અભિપ્રાયનું આવરણ નડે છે. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ રાખવો જોઈએ. વ્રત કોને કહેવાય ? વર્તે એને વ્રત કહેવાય. બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે કોને કહેવાય ? કે જેને અબ્રહ્મચર્ય યાદ જ ના આવે, એને બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે છે એમ કહેવાય.

[10] આલોચનાથી જ જોખમ ટળે વ્રતભંગનાં !

ભગવાને શું કહ્યું છે કે વ્રત તો તું જાતે તોડું તો તૂટે. કોઈ શું તોડાવી શકે ? એમ કોઈના તોડાવાથી વ્રત તૂટી જતું નથી. વ્રત લીધા પછી વ્રતનો ભંગ થાય તો આત્મા હઉ જતો રહે. વ્રત લીધું હોય તો તેનો ભંગ આપણાથી ના કરી શકાય. અને ભંગ થાય તો કહી દેવું જોઈએ કે હવે મારું ચલણ ઊડી ગયું છે.

[11] ચારિત્ર્યનો પ્રભાવ !

વ્યવહાર ચારિત્ર એટલે પુદ્ગલ ચારિત્ર, આંખે દેખાય એવું ચારિત્ર અને પેલું નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થયું કે ભગવાન થયો કહેવાય. અત્યારે તો તમારે બધાને ‘દર્શન’ છે, પછી જ્ઞાનમાં આવે પણ ચારિત્ર ઉત્પન્ન થતાં વાર લાગે. છતાં અક્રમ છે ને, એટલે ચારિત્ર શરૂ થાય ખરું, પણ એ તમને સમજવું મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : વ્યવહાર ચારિત્ર માટે બીજું વિશેષ શું કરવાનું ?

દાદાશ્રી : કશું નહીં. આ વ્યવહાર ચારિત્ર માટે તો બીજું શું કરવાનું ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ વ્યવહાર ચારિત્ર અને તેમાં જો કદી

(પા.૮૭)

આ બ્રહ્મચર્યનો ઉમેરો થાય તો બહુ ઉત્તમ અને તો જ ખરું ચારિત્ર કહેવાય.

જગત જીતવા માટે એક જ ચાવી કહું છું કે વિષય વિષયરૂપ ના થાય તો આખું જગત જીતી જાય. કારણ કે એ પછી શીલવાનમાં ગણાય. જગતનું પરિવર્તન કરી શકાય. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય, નહીં તો કોઈ પરિવર્તનને પામે જ નહીં. ઊલટું અવળું થાય. અત્યારે શીલ જ બધું ખલાસ થઈ ગયું છે ને !

ચોવીસે ય તીર્થંકરો બોલ્યા કે એકાંત શૈયાસન ! કારણ કે બે પ્રકૃતિ એકાકાર સંપૂર્ણ ‘એડજસ્ટેબલ’ હોય નહીં. તેથી ‘ડીસ્એડજસ્ટ’ થયા કરવાની અને તેથી સંસાર ઊભો થવાનો. એટલે ભગવાને શોધખોળ કરેલી કે એકાંત શૈયા અને આસન.

ખંડ : ૨ - આત્મજાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ

[1] વિષયી-સ્પંદન, માત્ર જોખમ !

વિષયોથી ભગવાન પણ ડર્યા છે. વીતરાગો કોઈ વસ્તુથી ડર્યા નહોતા, પણ એક વિષયથી એ ડરેલા. ડર્યા એટલે શું કે જેમ સાપ આવે છે, તે દરેક માણસ પગ ઊંચો લઈ લે કે ના લઈ લે !

[2] વિષય ભૂખની ભયાનકતા !

જેને ખાધામાં અસંતોષ છે એનું ચિત્ત ખોરાકમાં જાય અને જ્યાં હોટલ દેખે ત્યાં ચોંટી જાય, પણ ખાવાનો એકલો જ કંઈ વિષય છે ? આ તો પાંચ ઇન્દ્રિય અને તેમાં કેટલાય વિષય કહેવાય. ખાવાનો અસંતોષ હોય તેને ખાવાનું ચોંટે. તેમ જેને જોવાનો અસંતોષ હોય તે જ્યાં ને ત્યાં આંખો ફેરવ ફેરવ કરતો હોય. પુરુષને સ્ત્રીનો અસંતોષ હોય ને સ્ત્રીને પુરુષનો અસંતોષ હોય એટલે પછી ત્યાં ચિત્ત ચોંટે. આને ભગવાને મોહ

(પા.૮૮)

કહ્યો. દેખતાંની સાથે જ ચોંટે. સ્ત્રી દેખી કે ચિત્ત ચોંટી જાય.

‘આ સ્ત્રી છે’ એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને ‘આ પુરુષ છે’ એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નીરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે.

સ્ત્રી પુરુષોએ એકબીજાને અડાય નહીં, બહુ જોખમ છે. જ્યાં સુધી પૂર્ણ થયાં નથી ત્યાં સુધી અડાય નહીં. નહીં તો એક પરમાણુ પણ વિષયનું મહીં પેસે તો કેટલાય ભવ બગાડી નાખે. અમારામાં તો વિષયનું પરમાણુ જ ના હોય. એક પરમાણુ પણ બગડે તો તરત જ પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કરે તો સામાને ભાવ ઉત્પન્ન ના થાય.

એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે.

[3] વિષય સુખમાં દાવા અનંત !

આ ચાર ઇન્દ્રિયોની વિષયો કોઈ હેરાન કરતું નથી અને આ પાંચમો જે વિષય છે, સ્પર્શ વિષય છે તે તો સામી જીવંત વ્યક્તિ જોડે છે ! એ દાવો માંડે એવી છે, એટલે આ એકલી સ્ત્રી વિષયનો જ વાંધો છે. આ તો જીવતી ‘ફાઈલ’ કહેવાય. આપણે કહીએ કે હવે મારે વિષય બંધ કરવો છે ત્યારે એ કહે કે એ નહીં ચાલે. ત્યારે પૈણ્યા’તા શું કરવા ? એટલે એ જીવતી ‘ફાઈલ’ તો દાવો માંડે ને દાવો માંડે તો પોષાય જ કેમ કરીને ? એટલે જીવતા જોડે વિષય જ ના કરવો.

(પા.૮૯)

બે મન એકાકાર થઈ શકે જ નહીં. એટલે દાવા જ ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયમાં એક મન છે, એક પક્ષે છે. તેથી સામો દાવો ના માંડે !

પ્રશ્નકર્તા : વિષય રાગથી ભોગવે છે કે દ્વેષથી ?

દાદાશ્રી : રાગથી, એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે.

પ્રશ્નકર્તા : દ્વેષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ?

દાદાશ્રી : નર્યું વેર જ બાંધે, એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તો ય કર્મ બંધાય અને ગમતું હોય તો ય કર્મ બંધાય, અને ‘જ્ઞાન’ હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.

માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય એ દુકાનની મહીં જે શુદ્ધાત્મા છે તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ છૂટવા માટે તમે ફાંફા મારો એ ચાલે નહીં. એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિષયથી છોડાવનાર છે.

વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે, ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના ‘ફાઉન્ડેશન’ પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી, ને બટાકા જોડે વેર નથી.

એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, ‘લોન’ ઉપર. અને ‘લોન’ એટલે ‘રીપે’ (Repay) કરવી પડે છે. જ્યારે ‘લોન’ ‘રીપે’ થઈ જાય, પછી તમારે કશી ભાંજગડ હોતી નથી.

[4] વિષય ભોગ, નથી નિકાલી !

એક મહારાજ હતા, એ વ્યાખ્યાનમાં વિષય માટે બધું બહુ બોલતા,

(પા.૯૦)

પણ લોભની વાત આવે ત્યાં ના બોલે. કો’ક વિચક્ષણ સમજી ગયો કે આ લોભની વાત કોઈ દહાડો કેમ નથી કરતા ? બધી વાત બોલે છે, વિષયની વાત પણ બોલે છે. પછી એ મહારાજ પાસે ગયો અને ખાનગીમાં એમની પોટલી ઉઘાડી જોઈ. ત્યારે એ પુસ્તકની અંદર સોનાની ગીની મૂકેલી હતી, તે પેલાએ કાઢી લીધી ને જતો રહ્યો. પછી મહારાજે પોટલી જ્યારે ઉઘાડી તો ગીની ન મળે. ગીનીને બહુ શોધી, પણ તે ના જડી. બીજે દિવસે મહારાજે વ્યાખ્યાનમાં લોભની ઉપર વાત મૂકવા માંડી કે લોભ ના કરવો જોઈએ.

હવે તમે જો વિષયની લાઈનમાં બોલતા થાવ તો તમારી એ લાઈન હોય તો ય તૂટી જાય. કારણ કે તમે મનના વિરોધી થઈ ગયા. મનનું વોટિંગ જુદું ને તમારું વોટિંગ જુદું થઈ ગયું. મન સમજી જાય કે ‘આ તો આપણાથી વિરોધી થઈ ગયા, હવે આપણો વોટ ના ચાલે.’ પણ મહીં કપટ છે એથી લોકો બોલતા નથી અને એ બોલવું એવું સહેલું નથી ને !

પ્રશ્નકર્તા : ઘણાં એમ સમજે છે કે ‘અક્રમ’માં બ્રહ્મચર્યનું કંઈ મહત્ત્વ જ નથી. એ તો ડિસ્ચાર્જ જ છે ને !

દાદાશ્રી : અક્રમનો એવો અર્થ થતો જ નથી. એવો અર્થ કરે તે ‘અક્રમ માર્ગ’ સમજ્યો જ નથી. જો સમજ્યો હોય તો મારે તેને વિષય સંબંધી ફરી કહેવાનું હોય નહીં. અક્રમ માર્ગ એટલે શું કે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ ગણવામાં આવે છે. પણ આ લોકોને ડિસ્ચાર્જ જ નથી. આ તો હજી લાલચો હોય છે મહીં ! આ તો બધા રાજીખુશીથી કરે છે. ડિસ્ચાર્જને કોઈ સમજ્યું છે ?

[5] સંસારવૃક્ષનું મૂળ, વિષય !

આ દુનિયાનો બધો આધાર પાંચ વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.

પ્રશ્નકર્તા : વિષય અને કષાય, એ બેમાં મૂળભૂત ફરક શું છે ?

(પા.૯૧)

દાદાશ્રી : કષાય એ આવતાં ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે. એટલે આ બેમાં તો બહુ ફેર છે.

પ્રશ્નકર્તા : એ જરા વિગતવાર સમજાવો.

દાદાશ્રી : આ બધા જેટલા વિષયો છે, એ ગયા અવતારના પરિણામ છે. તેથી અમે વઢતાં નથી કે તમને મોક્ષ જોઈતો હોય તો જાવ એકલાં પડી રહો, ઘેરથી હાંક હાંક ના કરીએ ? પણ અમે અમારા જ્ઞાનથી જોયું છે કે વિષય એ ગયા અવતારનું પરિણામ છે. એટલે કહ્યું કે જાવ ઘેર જઈને સૂઈ જાવ, નિરાંતે ફાઈલોનો નિકાલ કરો. અમે આવતાં ભવનું કારણ તોડી નાખીએ અને જે ગયા અવતારનું પરિણામ છે એ અમારાથી છેદાય નહીં, કોઈથી ય છેદાય નહીં, મહાવીર ભગવાનથી ય ના છેદાય. કારણ કે ભગવાનને ય ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું ને બેબી થઈ. વિષય અને કષાયનો અર્થ ખરેખર આ થાય, પણ એની લોકોને કશું ખબર જ ના પડે ને ?! એ તો ભગવાન મહાવીર એકલાં જ જાણે કે આનો શું અર્થ થાય.

પ્રશ્નકર્તા : પણ વિષય આવ્યા, તો કષાય ઊભાં થાય ને ?

દાદાશ્રી : ના. બધા વિષય વિષય જ છે, પણ વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભાં થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય. કષાય ક્યાંથી જન્મ્યા ? ત્યારે કહે, વિષયમાંથી. એટલે આ બધા કષાય ઊભા થયા છે તે બધા વિષયમાંથી ઊભાં થયેલા છે. પણ આમાં વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. રૂટ કોઝ શું છે ? અજ્ઞાનતા.

[6] આત્મા અકર્તા-અભોક્તા !

વિષયનો સ્વભાવ જુદો, આત્માનો સ્વભાવ જુદો. આત્માએ પાંચ ઇન્દ્રિયોના વિષયો કશું કોઈ દહાડો ય ભોગવ્યા જ નથી. ત્યારે લોકો કહે છે કે મારા આત્માએ વિષય ભોગવ્યો !!! અલ્યા, આત્મા તે ભોગવતો હશે ?! તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે, ‘વિષયો વિષયોમાં વર્તે છે’ એમ

(પા.૯૨)

કહ્યું તો ય લોકોને સમજણ પડી નહીં. અને આ તો કહે છે, ‘હું જ ભોગવું છું.’ નહીં તો લોક તો કહેશે કે ‘વિષયો વિષયમાં વર્તે છે, આત્મા તો સૂક્ષ્મ છે.’ માટે ભોગવો એવો તેનો ય દુરુપયોગ કરી નાખે.

[7] આકર્ષણ-વિકર્ષણનો સિદ્ધાંત !

આ બધું આકર્ષણથી જ ઊભું રહ્યું છે ! મોટા નાનાનાં આકર્ષણથી આ બધું જગત ઊભું રહ્યું છે. આમાં ભગવાનને કરવાની જરૂર પડી નથી, ખાલી આકર્ષણ જ છે ! આ સ્ત્રી-પુરુષનું જે છે ને, તે ય આકર્ષણ જ છે ખાલી. ટાંકણી ને લોહચુંબકનું જેવું આકર્ષણ છે એવું આ સ્ત્રી-પુરુષનું આકર્ષણ છે. કંઈ બધી સ્ત્રીઓ જોડે આકર્ષણ ના થાય. એક જ પરમાણુ મળતા આવતા હોય તો એ સ્ત્રી ઉપર આકર્ષણ થાય. આકર્ષણ થયા પછી પોતે નક્કી કર્યું હોય કે મારે નથી ખેંચાવું તો ય ખેંચાઈ જાય.

પ્રશ્નકર્તા : એ પૂર્વનું ઋણાનુબંધ થયું ને ?

દાદાશ્રી : ઋણાનુબંધ કહીએ ને, તો બધું જગત ઋણાનુબંધ જ કહેવાય. પણ ખેંચાણ થવું એ વસ્તુ એવી છે ને કે પરમાણુનો સામસામી હિસાબ છે એને, તેથી ખેંચાય છે ! અત્યારે જે રાગ ઉત્પન્ન થાય છે, તે ખરેખર રાગ નથી. આ લોહચુંબક અને ટાંકણી હોય, તે લોહચુંબક આમ ફેરવે તો ટાંકણી આઘી પાછી થાય. તે બન્નેમાં કંઈ જીવ નથી. છતાં લોહચુંબકના ગુણને લીધે બન્નેને ખાલી આકર્ષણ રહે છે. એવું આ દેહને સરખા પરમાણુ હોય ને, ત્યારે તેની જ જોડે એને આકર્ષણ થાય. પેલામાં લોહચુંબક છે. આમાં ઇલેક્ટ્રિકલ બોડી છે ! પણ જેમ લોહચુંબક લોખંડને ખેંચે, બીજી કોઈ ધાતુને ખેંચતું નથી.

આ તો ઈલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા એ થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચૂંબકમાં કશું કોઈ વચ્ચે પેઠું મહીં ? ટાંકણીને આપણે શીખવાડ્યું’તું ? તું ઊંચી નીચી થજે ?

એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે. વિજ્ઞાનથી આ બધું ચાલે છે.

(પા.૯૩)

હવે ખેંચાણ થાય તેને લોક કહે કે મને રાગ થયો. અલ્યા, આત્માને રાગ તો થતો હશે ? આત્મા તો વીતરાગ છે ! આત્માને રાગે ય હોય નહીં ને દ્વેષે ય હોય નહીં. આ તો બેઉ પોતે કલ્પેલા છે. એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ ચાલી જાય તો કશું છે જ નહીં.

પ્રશ્નકર્તા : આકર્ષણનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : હાસ્તો ને ! આકર્ષણ વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે, ‘હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો’, તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારાં છે.

[8] વૈજ્ઞાનિક ‘ગાઈડ’ બ્રહ્મચર્ય માટે !

અને આવું પુસ્તક હિન્દુસ્તાનમાં થયું નથી. હિન્દુસ્તાનમાં આવું પુસ્તક ખોળશે, તો બ્રહ્મચર્યનું નહીં મળે. કારણ કે જે ખરા બ્રહ્મચારી થયા તે કહેવા નથી રહ્યા. ને નથી બ્રહ્મચારી તે કહેવા રહ્યા છે ને લખ્યુ નથી એમણે. બ્રહ્મચારી ના હોય તે શી રીતે લખે ? પોતાનામાં જે દોષો હોય, તે ઉપરથી કશું લખાય નહીં વિવેચન. એટલે બ્રહ્મચારી તે કહેવા રહ્યા નથી, જે ખરા બ્રહ્મચારી હતા તે ચોવીસ તીર્થંકર ! કૃપાળુ દેવે પણ થોડું ઘણું કહ્યું છે.

આ તો બ્રહ્મચાર્યનું આપણું પુસ્તક વાંચ્યું હોય તેને જ બ્રહ્મચર્ય પળાય, નહીં તો બ્રહ્મચર્ય પાળવું કંઈ સહેલી વસ્તુ છે ?

www.dadabhagwan.org