દાદા ભગવાન પ્રરૂપિત
નિજદોષ દર્શનથી... નિર્દોષ
સંકલન : ડૉ. નીરુબેન અમીન
સંપાદકીયઆ જગતમાં પોતે બંધાયેલો છે શાનાથી ? દુઃખ કેમ ભોગવવા પડે છે ? શાંતિ કઇ રીતે મળી શકે ? મુક્તિ કઇ રીતે પમાય ? તો આ જગતમાં બંધન પોતાને પોતાની ભૂલોથી જ છે. પોતાને જગતમાં કોઇ વસ્તુએ બાંધ્યા નથી. નથી ઘર-બાર બાંધતું, નથી બૈરી-છોકરાં બાંધતા. નથી ધંધા-લક્ષ્મી બાંધતા કે નથી દેહ બાંધી શકતો. પોતાની બ્લંડર્સ અને મિસ્ટેકથી બંધાયા છે ! અર્થાત્ નિજ સ્વરૂપની અજ્ઞાનતા એ સર્વ ભૂલોનું મૂળ છે અને પછી પરિણામે અનંતી ભૂલો, સૂક્ષ્મતમથી લઇને સ્થૂળતમરૂપે ભૂલો સર્જાયા જ કરે છે. અજ્ઞાનતાથી દ્રષ્ટિ દોષિત થઇ છે અને રાગ-દ્વેષ થાય છે ને નવા કર્મ બંધાયા કરે છે. સ્વરૂપ‘જ્ઞાન’ પ્રાપ્તિ થયે દ્રષ્ટિ નિર્દોષ પમાય છે. પરિણામે રાગ-દ્વેષ ક્ષય થઇ, કર્મબંધનથી મુક્ત થઇ વીતરાગ થવાય છે. ભૂલોનું સ્વરૂપ શું ? પોતાની જાતને સમજવામાં મૂળ ભૂલ થઇ છે, પછી પોતે નિર્દોષ છે, કરેક્ટ જ છે એમ મનાય છે અને સામેવાળાને દોષિત મનાય છે, નિમિત્તને બચકાં ભરવા સુધી પણ ગુનાઓ થયા કરે છે. અત્રે પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષ એવી જ સમજણ આપે છે કે જેથી પોતાની ભૂલ ભરી દ્રષ્ટિ છૂટે, નિર્દોષ દ્રષ્ટિ પ્રગટે. પરમ પૂજ્ય દાદાશ્રી વારંવાર કહેતા આ જગત કઇ રીતે નિર્દોષ છે, તેનાં અમને હજારો પૂરાવા હાજર થઇ જાગૃતિ રહે છે. પણ જે પૂરાવા તેઓશ્રીના જ્ઞાનમાં અવલોકન થયા તે કયા હશે ? તે અત્રે સુજ્ઞ વાચકને એક પછી એક પ્રાપ્ત થયા કરે છે. પ્રસ્તુત સંકલન જો ઝીણવટભરી રીતે ‘સ્ટડી’ કરવામાં આવે તો વાચકને નિર્દોષ દ્રષ્ટિના અનેક દ્રષ્ટિકોણ સંપ્રાપ્ત થાય તેમ છે ! જે પરિણામે નિર્દોષ દ્રષ્ટિના પંથે પોતાને પણ લઇ જશે. કારણ કે જેઓની સંપૂર્ણ દ્રષ્ટિ નિર્દોષ થઇ છે તેમની આ વાણી વાચકને અવશ્ય તે દ્રષ્ટિની સમજ પ્રાપ્ત કરાવશે જ ! બીજાના દોષો જોવાથી, દોષિત દ્રષ્ટિથી સંસાર ખડો છે અને નિર્દોષ દ્રષ્ટિથી સંસાર વિરમે છે ! એ પોતે સંપૂર્ણ નિર્દોષ થાય. નિર્દોષ સ્થિતિ પામવી કઇ રીતે ? બીજાનાં નહીં પણ પોતાના જ દોષ જોવાથી. પોતાના દોષો કેવા કેવા હોય છે, તેની સૂક્ષ્મ સમજ અત્રે અગોપિત થાય છે. ખૂબ જ ઝીણી ઝીણી દોષ દ્રષ્ટિને ખુલ્લી કરી નિર્દોષ દ્રષ્ટિ બનાવવાની પરમ પૂજ્ય દાદાશ્રીની કળા અત્રે સુજ્ઞ વાચકને જીવનમાં ખૂબ ઉપયોગી થઇ પડે તેમ છે. નિમિત્તને આધીન, સંજોગો, ક્ષેત્ર, કાળને આધીન નીકળેલી વાણીના પ્રસ્તુત સંકલનમાં ભાસિત ક્ષતિઓરૂપી દોષને ક્ષમ્યગણી તે પ્રત્યે પણ નિર્દોષ દ્રષ્ટિ રાખી મુક્તિમાર્ગનો પુરુષાર્થ આદરી સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ પમાય એ જ અભ્યર્થના ! - ડૉ. નીરુબહેન અમીન સમર્પણનિજદોષ દર્શન વિણ, બંધન ભવોભવ તણું; ખુલે દ્રષ્ટિ સ્વદોષ દેખ્યાની, તરે ભવસાગર ઘણું. હું ‘ચંદુ’ માન્યુ ત્યાંથી, મૂળ ભૂલનું થયું ઊગમણું; ‘હું શુદ્ધાત્મા’નું ભાન થતાં, થવા માંડે ભૂલોનું ઊઠમણું. ભગવાન ઉપરી, કર્તા જગનો, પછી વળગી અનંત અણસમજણું; વાગે રેકર્ડ પણ માને બોલ્યો, તેથી હાડોહાડ વાગે, વેણું. ભૂલો વળગી રહી શાથી ? લીધું તેનું સદા ઉપરાણું; ભૂલોને મળી જાય ખોરાક, કષાયોનું પેટ ભરાણું. જ્યાં સુધી રહે નિજ ભૂલો, ત્યાં સુધી જ ભોગવણું; દેખાય સ્વદોષો જ્યાં જાત, માટે પૂર્ણ નિષ્પક્ષપણું. દેહ-આત્માના ભેદાંકનવિણ, પક્ષ રહે સદા જાત તણું; ‘જ્ઞાની’ ભેદજ્ઞાન થકી, રેખાંકન આંકે સ્વ-પર તણું. પછી દોષને દેખે ત્યાંથી ઠાર, મશીનગન મહીં ગોઠવાણું; દોષો ધોવાની માસ્ટર કી, દેખે ત્યાંથી કર ‘પડકમણું’. ભૂલ ભાંગે તે ભગવાન, ન રહ્યું કોઇનું ઉપરીપણું; ‘જ્ઞાની’નું અદ્ભૂત જ્ઞાન, પ્રગટે નિજ પરમાત્મપણું. શુદ્ધાત્મા થઇ જુએ, અંતઃકરણનાં અણુ એ અણુ; ‘બાવા’ના દોષો ધોવાય, સૂક્ષ્મત્વ સુધીનું શુદ્ધિકરણું. નિજદોષ દર્શન દ્રષ્ટિ, ‘દાદાવાણી’ આજ પ્રમાણું; નિજદોષ છેદન કાજ ગ્રંથ ધરાણું જગત ચરણું. ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. ઉપોદ્ઘાતનિજદોષ દર્શનથી.... નિર્દોષ ‘બીજાનો દોષ જોવાથી કર્મ બંધાય, પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય.’ આ છે કર્મનો સિદ્ધાંત. ‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.’ - શ્રીમદ્ રાજચંદ્ર અનંત અવતારથી અનંત દોષો આ જીવે સેવ્યા. આ અનંત દોષોનું મૂળ એક જ દોષ, એક જ ભૂલ છે. જેના આધારે અનંત દોષોની વળગણા વર્તાઇ છે. એ કઇ ભૂલ હશે ? મોટામાં મોટો મૂળ દોષ ‘પોતાના સ્વરૂપનું અજ્ઞાન’ એ જ છે ! ‘હું કોણ છું ?’ આટલું જ નહીં સમજાવાથી જાત જાતની રોંગ બિલિફો ઊભી થઇ ગઇ ને તેમાં જ રાચ્યા અનંત અવતારથી. ક્યારેક કોઇ અવતારમાં જ્ઞાની પુરુષનો ભેટો થઇ જાય ત્યારે ‘એ’ ભૂલ ભાંગે પછી બધી ભૂલો ભાંગવા માંડે. કારણ કે ‘જોનારો’ જાગૃત થાય એટલે બધી જ ભૂલો દેખાવા માંડે અને જે ભૂલ દેખાય તે અવશ્ય જાય. તેથી તો કૃપાળુદેવે આગળ કહ્યું, ‘દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય ?’ પોતાના દોષ દેખાય નહીં તો તરીએ કઇ રીતે ? એ તો ‘જોનારો’ જાગૃત થાય તો થાય. જગતની વાસ્તવિકતાનો ખ્યાલ નહીં હોવાથી ભ્રાંત માન્યતાઓમાં કે જે ડગલે ને પગલે વિરોધાભાસવાળી હોય છે, તેમાં મનુષ્ય અટવાયા કરે છે. જેને આ સંસારમાં નિરંતર બોજો લાગ્યા કરે છે, બંધન ગમતું નથી. મુક્તિના જે ચાહક છે, તેણે તો જગતની વાસ્તવિકતાઓ, જેમ કે આ જગત કોણ ચલાવે છે ? કેવી રીતે ચલાવે છે ? બંધન શું ? મોક્ષ શું ? કર્મ શું ? ઇ.ઇ. જાણવી આવશ્યક છે ! આપણો ઉપરી વર્લ્ડમાં કોઇ છે જ નહીં ! પોતે જ પરમાત્મા છે કે પછી તેનાથી ઉપરી અન્ય કોણ હોઇ શકે ? અને આ ભોગવટાવાળો વ્યવહાર આવી પડ્યો છે, તેના મૂળમાં પોતાની જ ‘બ્લંડર્સ અને મીસ્ટેક્સ’ છે ! ‘પોતે કોણ છે’ તે નથી જાણ્યું અને લોકોએ જ કહ્યું કે તું ચંદુભાઇ છે. તેવું પોતે માન્યું કે ‘હું ચંદુભાઇ છું’, એ ઊંધી માન્યતા જ મૂળ ભૂલ અને એમાંથી આગળ ભૂલની પરંપરાઓ સર્જાય છે. આ જગતમાં કોઇ સ્વતંત્ર કર્તા જ નથી, નૈમિતિક કર્તા છે. અનેક નિમિત્તો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. ત્યારે આપણા લોકો એકાદ દેખીતું નિમિત્ત પોતાના જ રાગ-દ્વેષના નંબરવાળા ચશ્મામાંથી જોઇને પકડી લઇ તેને જ બચકાં ભરે છે, તેને જ દોષિત જુએ છે. પરિણામે પોતાના જ ચશ્માનો કાચ જાડો ને જાડો થતો જાય છે (નંબર વધે છે). આ જગતમાં કોઇ કોઇનું બગાડી ના શકે, કોઇ કોઇને સળી ના કરી શકે. જે સળીઓ આપણને વાગે છે તેમાં મૂળમાં આપણી જ કરેલી સળીઓનાં પરિણામો છે. જ્યાં મૂળમાં ‘પોતાની’ જ ભૂલ છે, ત્યાં આખું જગત નિર્દોષ નથી ઠરતું ? પોતાની ભૂલ ભાંગે તો પછી વર્લ્ડમાં કોણ આપણું નામ દેનાર છે ? આ તો આપણે જ આમંત્ર્યા તે જ સામા આવ્યા છે ! જેટલા આગ્રહથી આમંત્ર્યા એટલી જ ચોંટ સાથે વળગ્યા ! જે ભૂલ વગરના છે તેને તો બહારવટિયાઓના ગામમાં ય કોઇ નામ ના દે ! એટલો તો બધો પ્રતાપ છે શીલનો ! પોતાથી કોઇને દુઃખ થાય તેનું કારણ પોતે જ છે ! જ્ઞાનીઓથી કોઇને કિંચિત્માત્ર દુઃખ ના થાય. ઊલ્ટું અનેકોને પરમ સુખીયા બનાવી દે છે ! જ્ઞાની સર્વ ભૂલો ભાંગીને બેઠાં છે તેથી ! પોતાની એક ભૂલ ભાંગે તે પરમાત્મા થઇ શકે ! આ ભૂલો શેના આધારે ટકી છે ? ભૂલોના ઉપરાણા લીધાં તેથી ! તેનું રક્ષણ કર્યુ તેથી ! ક્રોધ થઇ ગયો પછી પોતે તેનું આમ ઉપરાણું લે, ‘જો એને એમ ક્રોધ ના કર્યો હોત તો એ પાંસરો થાત જ નહીં !’ આ વીસ વર્ષના આયુષ્યનું એક્સટેન્શન કરી આપ્યું ક્રોધનું ! ભૂલોનું ઉપરાણું લેવાનું બંધ થાય તો એ ભૂલ જાય. ભૂલોને ખોરાક આપે, તેથી તે ખસે જ નહીં ! ઘર કરી જાય. આ ભૂલો કેમ કરીને ભંગાય ? પ્રતિક્રમણથી-પસ્તાવાથી ! કષાયોનો અંધાપો દોષ દેખવા ન દે. જગત આખું ભાવનિદ્રામાં પોઢી રહ્યું છે એટલે જ તો પોતે પોતાનું જ અહિત કરી રહ્યો છે ! ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થયે ભાવનિદ્રા ઊડે ને જાગૃત થાય. ભૂલોનું રક્ષણ કોણ કરે છે ? બુદ્ધિ ! વકીલની જેમ ભૂલનાં ફેવરની વકીલાત કરી બુદ્ધિ ચઢી બેસે ‘આપણી’ ઉપર ! એટલે ચલણ ચાલે પછી બુદ્ધિનું. પોતાની ભૂલોનો એકરાર કરી નાખે ત્યાં ભૂલોનું રક્ષણ ઊડે છે ને પછી તેને વિદાય લેવી જ પડે ! આપણને જે ભૂલ દેખાડે તે તો મહાન ઉપકારી ! જે ભૂલો જોવા પોતાને પુરુષાર્થ કરવો પડે, તે સામે ચાલીને કોઇ આપણને દેખાડી દે, તેનાથી સરળ બીજું શું ? જ્ઞાની પુરુષ ઓપન ટુ સ્કાય (ખુલ્લેઆમ) હોય. બાળક જેવાં હોય. નાનું બાળકે ય ‘એમને’ વિના સંકોચે ભૂલ બતાડી શકે ! પોતે ભૂલનો સ્વીકાર પણ કરે ! કોઇ પણ બૂરી આદત પડી હોય તો તેમાંથી છૂટાય કઇ રીતે ? કાયમને માટે ‘આ આદત ખોટી જ છે’ એવું અંદર તેમજ બહાર જાહેરમાં રહેવું જોઇએ, એનો ખૂબ પસ્તાવો દરેક વખતે લેવો જોઇએ અને એનું ઉપરાણું એકેય વાર ન લેવાય તો એ ભૂલ જાય. બુરી આદતો કાઢવાની આ પરમ પૂજ્ય દાદાશ્રીની આગવી શોધખોળ છે ! વીતરાગ પાસે પોતાના સર્વ દોષોની આલોચના કર્યે એ દોષો તત્ક્ષણ જાય ! ‘જેમ ભૂલ ભાંગે તેમ સૂઝ ખુલતી જાય.’ પરમ પૂજ્ય દાદાશ્રીનો સિદ્ધાંત શીખી લેવા જેવો છે. ‘જે ફરિયાદ કરે છે તે જ ગુનેગાર છે !’ તને સામો ગુનેગાર કેમ દેખાયો ? ફરિયાદ શા માટે કરવી પડી ? ટીકા કરવી એટલે દસનું કરવું એક ! શક્તિઓ વેડફાય ને ખોટ જાય ! સામાની ભૂલ દેખાય તેટલી નાલાયકતા મહીં રહી. બૂરાં આશયો જ ભૂલો દેખાડે. આપણને કોણે ન્યાયાધીશ તરીકે નીમ્યા ? પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે સહુ. પ.પૂ દાદાશ્રી કહે છે, ‘હું ય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કરું છું. પ્રકૃતિ તો હોય જ ને ! પણ અમે મોંઢે કહી દઇએ કે મને તારી આ ભૂલ દેખાય છે. તારે જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકજે.’ પ્રથમ ઘરમાં ને પછી બહારના બધાય નિર્દોષ દેખાશે ત્યારે જાણવું કે મુક્તિના સોપાન ચઢ્યા. બીજાના નહીં પણ પોતાના જ દોષો દેખાવા માંડ્યા ત્યારે જાણવું કે થયું સમકિત હવે ! અને જેટલા દોષ દેખાય તે થાય વિદાય, કાયમને માટે ! સામાના અવગુણ કે ગુણ બેઉ જોવાય નહીં ! અંતે તો બન્નેય પ્રાકૃત ગુણો જ છે ને ! વિનાશી જ છે ને ! એના શુદ્ધાત્મા જ જોવાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેને ય અમે નિર્દોષ જ જોઇએ ! અમે સત્ વસ્તુને જ જોઇએ. એ તાત્ત્વિક દ્રષ્ટિ છે. પેકીંગને અમે જોતાં નથી.’ જગત નિર્દોષ જોવાની આ એક માત્ર ‘માસ્ટર કી’ છે ! પોતાની ભૂલોની ખબર ક્યારે પડે ? જ્ઞાની પુરુષ દેખાડે ત્યારે. માથે જ્ઞાની પુરુષ ના હોય તો બધો સ્વચ્છંદ જ ગણાય. અજવાળાની ભૂલોનો તો ક્યારેક ઉકેલ આવે પણ અંધારાની ભૂલો જાય જ નહીં ને ! અંધારાની ભૂલો એટલે ‘હું જાણું છું’ !!! અક્રમ જ્ઞાનની પ્રાપ્તિ પછી માત્ર અંદરનું જોવામાં આવે તો તમે ‘કેવળજ્ઞાન’ સત્તામાં હશો. અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. મહીં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોયા કરવું. પરસત્તાના પર્યાયો જોયા કરવા. ‘વસ્તુ, વસ્તુનો સ્વભાવ ચૂકે તે પ્રમત્ત કહેવાય. વસ્તુ એના મૂળ ધર્મમાં રહે તે અપ્રમત્ત ભાવ.’ મોક્ષ ક્યારે થાય ? ‘તારું જ્ઞાન અને તારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે.’ ભૂલથી જ અટક્યું છે. જપ-તપની જરૂર નથી, ભૂલ વગરના થવાની જરૂર છે. મૂળ ભૂલ કઈ ? ‘હું કોણ છું’નું અજ્ઞાન. એ ભૂલ કોણ ભાંગે ? જ્ઞાની પુરુષ જ. દોષ નીકળે કઈ રીતે ? દોષ પેઠો કેવી રીતે એ ખબર પડે તો કાઢવાનો રસ્તો જડે. દોષ શ્રદ્ધાથી, પ્રતીતિથી પેસે છે અને શ્રદ્ધાથી, પ્રતીતિથી એ નીકળે. સો ટકા મારી જ ભૂલ છે એવી પ્રતીતિ થાય, પછી એ ભૂલનું એક સેન્ટ પણ રક્ષણ ના થાય ત્યારે એ ભૂલ જાય ! જે જે ભગવાન થયા તે પોતાની ભૂલો ભાંગીને ભગવાન થયા ! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘ભૂલ કોને દેખાય ? ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ દર્શનમાં હોય અને ભૂલવાળુ વર્તન એના વર્તનમાં હોય, તો એને ‘અમે’ છૂટો થયેલો કહીએ છીએ.’ અમને અમારી સૂક્ષ્મમાં સૂક્ષ્મ તેમજ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો બધી જ દેખાય. દોષ થાય તેનો દંડ નથી પણ દોષ દેખાય તેનું ઈનામ છે. ઈનામમાં દોષ જાય. તે આત્મજ્ઞાન પછી ‘પોતે’ પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થાય છે, તેથી પોતાની બધી જ ભૂલો જોઈ શકે છે ! શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં. બુદ્ધિ હંમેશાં સમાધાન ખોળે છે, સ્થિરતા ખોળે છે. બુદ્ધિ સ્થિર ક્યારે થાય ? બીજાના દોષ જુએ તો બુદ્ધિ સ્થિર થાય અગર તો પોતાના દોષ જુએ તો ય બુદ્ધિ સ્થિર થાય. અજ્ઞાનતામાં બીજાના જ દોષ જુએ, પોતાના દેખાય જ નહીં. બુદ્ધિ સ્થિર ન થાય એટલે હાલમડોલ થયા કરે. પછી આખું અંતઃકરણ હલાવી નાખે, હુલ્લડ મચાવી દે. તે પાછી બુદ્ધિ બીજાના દોષ દેખાડે એટલે પોતે સાચી ઠરીને સ્થિર થાય! પછી હુલ્લડ શાંત થઈ જાય ! નહીં તો વિચારોનું ઘમસાણ ચાલ્યા જ કરે અને આ રીતે જગતમાં ડખો થઈ રહ્યો છે. આવી ઝીણી વાત કયા શાસ્ત્રમાં જડે ?! જગતનું સરવૈયું કોઈ શાસ્ત્રમાં જડે એવું નથી, એ તો જ્ઞાની પાસે જ મળે. સામાના દોષ દેખાય તે જ સંસારની અધિકરણ ક્રિયા ! મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે અને સંસારમાં ભટકનારા પારકાની ભૂલો જોયા કરે ! અભિપ્રાય રાખવાથી દ્રષ્ટિ દોષિત થઈ જાય છે. પ્રતિક્રમણથી અભિપ્રાય તૂટે છે ને નવું મન બંધાતું નથી. આત્મદ્રષ્ટિ થયા પછી... દેહાધ્યાસ છૂટે અને આત્માનો અધ્યાસ બેસે ત્યાર પછી નિજદોષ જ દેખાય. કેટલાંક દોષો બરફરૂપે જામેલા હોય, તે જલ્દી શી રીતે જાય ? અનેક પડોવાળા હોય તે ધીમે ધીમે જાય. જેમ જેમ દોષ દેખાય, તેમ તેમ પડ ઉખડતા જાય. જેમ કાંદાના પડ હોય તેમ બહુ ચીકણા દોષોનાં બહુ પ્રતિક્રમણ કરવા પડે. ‘ચંદુભાઈ’ના દોષ થાય ને પોતાને ના ગમે તો એ દોષ દેખાયો કહેવાય અને દેખાય તે જાય. જીવન પોતાના જ પાપ-પુણ્યની ગુનેગારીનું પરિણામ છે. ફૂલા પડે તે પુણ્યનું ને પથરા પડે તે પાપનું પરિણામ છે ! કિંમત છે સમતાભાવે ભોગવી લેવાની. મોટા ભાગની ગૂંચો વાણીથી પડે છે. ત્યાં જાગૃતિ રાખી કે મૌન સેવી ઉકેલ લવાય. સમ્યક્ દ્રષ્ટિને નવા દોષો ભરાતાં નથી ને જૂના ખાલી થાય છે. જ્ઞાનપ્રાપ્તિ પછી ય કષાય થઈ જાય પણ તેની તરત ખબર પડે ને જુદું રહે. અક્રમ વિજ્ઞાનીએ તો જ્ઞાન આપીને પચીસેય પ્રકારના મોહનો નાશ કરી આપ્યો. સુટેવો-કુટેવો બંનેવને ભ્રાંતિ કહી છોડાવ્યા છે સર્વથી. સામાની કઈ ભૂલ કઢાય ? જે ભૂલ એને દેખાતી ના હોય તે. અને કઈ રીતે કઢાય ? સામાને ભૂલ કાઢનારો ઉપકારી દેખાય તો કઢાય. ‘કઢી ખારી થઈ’ કરીને કકળાટ ના કરાય. ઘરનાં બધાં જ નિદોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચા પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણ ક્યાં સુધી કરવાં ? જેના તરફ મન બગડ્યા કરતું હોય, યાદ આવ્યા કરતું હોય ત્યાં સુધી. જ્યાં સુધી આપણો એટેકીંગ નેચર હશે, ત્યાં સુધી માર પડશે. આપણને ગમે તેવો અથડાવા આવે તો ય આપણે અથડામણ ટાળવી, આપણે ખસી જવું. પોતે કર્તા નથી પણ સામાને કર્તા જુએ છે એ પોતે જ કર્તા થયા બરાબર છે ! સામાને કિચિંત્માત્ર કર્તા જોયો કે પોતે કર્તા થઈ જ ગયો ! પ્રકૃતિ ભલે વઢંવઢા કરે, પણ તેને કર્તા ના જોવો. કારણ કે એ નથી કરતો. ‘વ્યવસ્થિત’ કરે છે ! દોષ કરનારો અહંકાર અને દોષ જોનારો ય અહંકાર ! દોષ જોનારો એકાંતે અહંકારી હોય જ. આખો દહાડો માફી માંગ માંગ કર્યા કરવી. આખો દહાડો માફી માંગવાની ટેવ જ પાડી દેવી. જ્ઞાનીની કૃપાથી જ કામ થાય, કંઈ દોડધામ કરવાની નહીં. કૃપા ક્યારે મળે ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવાથી. આજ્ઞામાં રહેવાથી સમાધિ થાય. આત્મા ય વીતરાગ છે ને પ્રકૃતિ ય વીતરાગ છે. પણ પ્રકૃતિના દોષ કાઢીએ કે તેનું રિએક્શન આવે. કોઈનો દોષ દેખાય તે આપણો જ દોષ છે. દાદાનો આ સત્સંગ, ત્યાં માર પડે તો ય છોડવો નહીં. સત્સંગમાં મરી જવું પણ બહાર ક્યાંય જવા જેવું નહીં, સત્સંગમાં કોઈના દોષ જોવા નહીં. નહીં તો ‘વજ્રલેપો ભવિષ્યતિ’ ! માટે અહીં તરત જ પ્રતિક્રમણ કરી ધોઈ નાખવું. નહી તો નિકાચિત કર્મ થઈ જાય ! જ્ઞાની પુરુષના કોઈ કાળે દોષ જોવાય જ નહીં. જ્ઞાની પુરુષ આગળ બુદ્ધિ વાપરે તો તે પડી જાય, નર્કે જાય. કો’ક વિરલ જ જ્ઞાનીની નજીક રહી તેમનો એકુંય દોષ ના જુએ ! તે જ જ્ઞાનીની સેવામાં નજીક રહી શકે ! બીજાનાં દોષ જોવાથી પોતાના દોષ જોવાની શક્તિ રૂંધાઈ ગઈ છે. કોઈની ભૂલ હોતી જ નથી, ભૂલ ગણવી જ હોય તો ‘વ્યવસ્થિત’ની ગણજો અને ‘વ્યવસ્થિત’ એટલે પોતાનો જ હિસાબ પોતાને ભાગે આવે છે. પોતે ભૂલ કરી છે તેનો દંડ કુદરતી નિમિત્તો દ્વારા પોતાને મળે છે. જ્ઞાનીના પ્રત્યેક કર્મ દિવ્ય કર્મ હોય. બાહ્ય કર્મ તો બધાના જેવાં જ હોય પણ તે સમયે તેમને વર્તતી વીતરાગતા જ નિહાળવા જેવી છે ! પ્રત્યક્ષની વીતરાગતા જોવાથી વીતરાગ થવાય ! મોક્ષાર્થીની લાક્ષણિકતાઓ કઈ ? સરળતા ! ઓપન ટુ સ્કાય ! પોતાના બધા જ દોષો ખુલ્લા કરી નાખે તે ! દોષમાં એકાગ્રતા થવાથી એટલે કે દોષ દેખાયો નહીં. અંધાપો આવ્યો તેથી દોષ વળગ્યો. એ દોષ જોવાથી જાય. આપણે પોતે શુદ્ધાત્મા થઈ ગયા. હવે પુદ્ગલને ચોખ્ખું કરવાનું રહ્યું. તે જોવાથી જ ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ જે કરે તેણે પ્રતિક્રમણ કરવાનું. શુદ્ધાત્મા અતિક્રમણ કરતો નથી, તેથી પ્રતિક્રમણ કરવાનું એને રહેતું નથી. આ સિદ્ધાંત લક્ષમાં રાખવાનો. દાદાશ્રી કહે, કે અમારાં પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય, એની મેળે ! એ જાગૃતિનું ફળ છે ! આગળની જાગૃતિ તો દોષોને દોષ તરીકે ય જોતું નથી. એ ‘જ્ઞેય’ ને ‘પોતે’ ‘જ્ઞાતા’. જ્ઞેય છે તો જ્ઞાતાપણું છે ! કોઈને દોષીત પણ નહીં ગણવા ને નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા ! પોતાની પ્રકૃતિને જોવી, ચંદુભાઈ શું કરી રહ્યાં છે તેને જોવું એ શુદ્ધ ઉપયોગ છે. પ્રકૃતિ કેમ જોવાતી નથી ? આવરણને લીધે. એ આવરણ કઈ રીતે તૂટે ? જ્ઞાની પુરુષ ‘વિધિઓ’ (ચરણ વિધિ) કરાવે, તેનાથી આવરણ તૂટે. જ્ઞાનીને ય સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો હોય, જે પ્રતિક્રમણથી ચોખ્ખા કરે. પ્રકૃતિના ગુણ-દોષોને જોનારો કોણ ? પ્રકૃતિને પ્રકૃતિ જુએ છે, એ જોનારો છે પ્રકૃતિનો બુદ્ધિ અને અહંકારનો ભાગ ! આમાં આત્મા નિર્લેપ હોય છે. આત્માને સારું-ખોટું હોતું જ નથી. પ્રકૃતિના દોષો દેખાડનારી ઊંચી પ્રકૃતિ કહેવાય કે જે આત્મા પ્રાપ્ત કરાવનારી છે. પ્રકૃતિને નિર્દોષ જુએ છે તે પરમાત્મા ! જોવામાં મુક્તાનંદ ! પણ આત્માને આનંદની ય પડી નથી. એને તો માત્ર જેમ છે તેમ જોવામાં સર્વસ્વ છે ! દોષથી અંતરાય ને અંતરાયથી સંપૂર્ણ આનંદનો અનુભવ અડકે ! પરમ પૂજ્ય દાદાશ્રી એમની દશાનું વર્ણન કરતાં કહે છે કે ‘અમારે તો વાળ જેટલી ય ભૂલ થાય તો તરત ખબર પડી જાય !’ તે મહીં કેવી કોર્ટ હશે ?! કેવું જજમેન્ટ હશે ? કોઈની જોડે મતભેદ જ નહીં. ગુનેગાર દેખાય છતાં એની જોડે મતભેદ નહીં ! બાહ્યમાં ગુનેગાર, અંદર તો કંઈ જ ગુનો નથી. તેથી દાદાશ્રી સંપૂર્ણ નિર્દોષ થયા અને આખા જગતને નિર્દોષ જોયું ! જ્ઞાની પુરુષની એક સ્થૂળ કે સૂક્ષ્મ ભૂલ ના હોય ! સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ જ હોય જેના પોતે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા હોય અને જે ભૂલો કોઈને નુકસાનકર્તા ના હોય, માત્ર પોતાના ‘કેવળ જ્ઞાન’ને જ એ રોકતી હોય ! છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ ? આ જગતમાં કોઈ દોષિત જ ના દેખાય ! જેણે સર્વ ભૂલો ભાંગી, તેનો આ જગતમાં કોઈ ઉપરી જ ના રહ્યો ! તેથી જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા જ કહેવાય. દાદાશ્રી કહે છે, ‘અમે’ બે જુદાં છીએ. મહીં પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, ઝળહળ જ્યોતિ સ્વરૂપ ! જે અમને અમારી પણ મહીંલી ભૂલો દેખાડે છે અને એ જ ચૌદ લોકનો નાથ છે ! એ જ દાદા ભગવાન છે ! ૩૬૦ ડિગ્રીના પૂર્ણ ભગવાન ! જગત નિર્દોષ જગત નિર્દોષ કઈ રીતે ભાળી શકાય ?! આત્મદ્રષ્ટિ થકી જ, પુદ્ગલ દ્રષ્ટિ થકી નહીં ! તત્ત્વદ્રષ્ટિ થકી, અવસ્થા દ્રષ્ટિ થકી નહીં ! સામાને દોષિત જુએ, એ અહંકાર છે જોનારાનો ! દુશ્મન પ્રત્યે પણ ભાવ ન બગડે, બગડે તો તુર્ત જ પ્રતિક્રમણથી સુધારી લેવાય તો આગળ પ્રગતિ થાય ને અંતે શીલવાન થવાય. શરૂઆતમાં બુદ્ધિ સામાને નિર્દોષ નહીં જોવા દે પણ નિર્દોષ જોવાની શરૂઆત કરવી. પછી જેમ જેમ અનુભવમાં આવશે, તેમ તેમ બુદ્ધિ ટાઢી પડશે. જેમ દાખલો ગણતા જવાબ મેળવવા એક રકમ ધારવી પડે, ‘ધારો કે 100’ (સપોઝ હંડ્રેડ) પછી જવાબ સાચો મળે છે ને ?! તેમ દાદાશ્રી પણ એક રકમ ધારવાની કહે છે કે ‘આ જગતમાં કોઈ દોષીત જ નહીં. આખું ય જગત નિર્દોષ છે !’ સાચો જવાબ અંતે મળી જશે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ. દોષિત દ્રષ્ટિએ સામો દોષિત દેખાય ને નિર્દોષ દ્રષ્ટિએ સામો નિર્દોષ દેખાય. જ્ઞાન મળ્યા પછી પણ જગત નિર્દોષ છે એ અનુભવમાં ના આવે. ત્યાં તો દાદાશ્રીએ કહ્યું છે માટે એમ આપણે નક્કી કરી નાખવું કે જેથી કોઈ દોષિત દેખાય જ નહીં. જ્યાં એવું નક્કી નહીં થયેલું હોય, એ ભાગમાં પછી માનવાનું જ કે જગત નિર્દોષ જ છે ! જવાબ જાણીએ એટલે દાખલો ગણવાનો સહેલો થઈ જાય ને ! પ્રતીતિમાં તો સો ટકા રાખવું કે જગત નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ ભ્રાંતિ છે ને તેનાથી સંસાર ખડો છે ! જાણ્યું તેનું નામ કે ઠોકર ના વાગે. કષાયો (ક્રોધ-માન-માયા-લોભ) એ ઠોકરો જ છે ! અને ત્યાં સુધી ભટકવાનું જ છે ! કષાયોનો પડદો બીજાના દોષો દેખાડે છે ! કષાયો પ્રતિક્રમણથી જાય ! મોક્ષ માટે કર્મકાંડ કે ક્રિયાઓ કરવાની જરૂર નથી, આત્મા જાણવાની જરૂર છે, જગત નિર્દોષ જોવાની જરૂર છે ! છતાં જેને જે અનુકૂળ આવે તે કરે. કોઈની ટીકા કરવાની જરૂર નથી. નહીં તો તેની જોડે નવા કરાર બંધાશે. સ્વકર્મને આધીન જ ભોગવટો પોતાને આવે છે, પછી બીજા કોનો ગુનો ? મહાવીરનો ખરો શિષ્ય કોણ ? જેને લોકોના દોષ દેખાવાના ઓછાં થવા માંડ્યા છે ! સંપૂર્ણ દશાએ નહીં તો ય શરૂઆત તો થઈ ! ધર્મમાં એક-બીજાના દોષો દેખાય છે તે મારા-તારાની ભેદબુદ્ધિથી અને તેને માટે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, ‘ગચ્છ-મતની જે કલ્પના, તે નહીં સદ્વ્યવહાર.’ દાદાશ્રી કહે છે, કે ‘અત્યારે અમારાથી જે કંઈ બોલાય છે તે ગતભવમાં રેકર્ડ થયેલું બોલાય છે. ગયા ભવની ભૂલવાળી રેકર્ડ થયેલી. તેથી કોઈ ધર્મમાં ‘આ ભૂલ છે’ એવું બોલાય છે. પણ આજનું જ્ઞાન-દર્શન એને સંપૂર્ણ નિર્દોષ જુએ છે ને બોલાયું તેનું તુર્ત જ પ્રતિક્રમણ થઈ ચોખ્ખું થઈ જાય છે !’ અક્રમ માર્ગનું દાદાશ્રીનું અજાયબ જ્ઞાનીપદ પ્રગટ થયું છે આ કાળમાં ! કોઈની કલ્પનામાં ન આવે તેવું આ આશ્ચર્યકારી કુદરતની ભેટ છે જગતને ! નિર્દોષ દ્રષ્ટિ થઈ, ત્યારથી પોતે પ્રેમસ્વરૂપ થયા અને એમના શુદ્ધ પ્રેમે કેટલાંયને સંસારમાર્ગમાંથી મોક્ષમાર્ગમાં વાળ્યા ! એ અઘટ-અવધ પરમાત્મ પ્રેમને કોટી કોટી નમસ્કાર !!! નિર્દોષ જગત દેખાય ત્યારે મુક્ત હાસ્ય પ્રગટે. મુક્ત હાસ્ય જોઈને જ કેટલાંય રોગ જાય. જ્ઞાની પુરુષનું ચારિત્રબળ આખા બ્રહ્માંડને એક આંગળી પર ઊભું રાખે એવું હોય ! અને એ ચારિત્રબળ ક્યાંથી પ્રગટે ? નિર્દોષ દ્રષ્ટિથી ! - ડૉ. નીરુબહેન અમીન (પા.૧)નિજદોષ દર્શનથી... નિર્દોષવિશ્વની વાસ્તવિકતાઓપ્રશ્નકર્તા : જગતની વાસ્તવિકતા વિષે કંઈક કહો. દાદાશ્રી : જગતના લોકો વ્યવહારમાં બે રીતે રહે છે, એક લૌકિક ભાવથી અને એક અલૌકિક ભાવથી. તે ઘણો ખરો ભાગ જગતનો લૌકિક ભાવે જ રહે છે કે ભગવાન ઉપર છે ને ભગવાન બધું કરે છે. અને પાછો પોતેય કરતો જાય, ભગવાનેય કરતા જાય. એમને કંઈ વિરોધાભાસનો ખ્યાલ નથી અને એમને ભગવાન માથે હોય તો બીક રહ્યા કરે કે ખુદા યે કરેગા ને યે કરેગા. આમ કરીને ગાડું ચાલ્યા કરે. પણ જે અત્યંત વિચારવંત થયો છે, જેને માથે ભારરૂપ બોજો કોઈનો જોઈતો જ નથી, તો એને માટે ખરેખરી હકીકત અલૌકિક હોવી જ જોઈએ ને ? અલૌકિકમાં કોઈ ઉપરી છે જ નહીં. જગતમાં તમારી ભૂલો જ ઉપરી છે, તમારા બ્લંડર્સ (મોટી ભૂલો) એન્ડ મિસ્ટેક્સ (સામાન્ય ભૂલો) એ બે જ ઉપરી છે. બીજું કોઈ ઉપરી છે જ નહીં. આપણો ઉપરી કોણ ?આવું કોણ કહી શકે ? ત્યારે ઓહોહો ! આ કેટલા નીડર હશે ? અને ડર કોનો રાખવાનો ? મારી શોધખોળ છે કે તમારો ઉપરી જ કોઈ નથી આ (પા.૨)વર્લ્ડમાં ! અને જેને તમે ઉપરી માનો છો, ભગવાનને, એ તો તમારું સ્વરૂપ છે ! ભગવાનનું સ્વરૂપ ઉપરી હોઈ શકે નહીં ક્યારેય પણ. એના અજાણ છે માટે એ ઉપરી હોઈ શકે નહીં. ત્યારે ઉપરી કોણ ? તમારી બ્લંડર્સ અને મિસ્ટેક્સ. આ બે જ જો ના હોય તો તમારો કોઈ ઉપરી છે જ નહીં. મારા બ્લંડર્સ અને મિસ્ટેક્સ નીકળી ગયેલાં છે, એટલે મારો ઉપરી કોઈ પણ છે નહીં. તમે જ્યારે બ્લંડર્સ અને મિસ્ટેક્સ કાઢી નાખશો ત્યારે તમારા ઉપરી કોઈ નહીં. હમણે પોલીસવાળાની જોડે ત્યાં અથડામણ કરીને આવો, અહીં જલ્દી આવવા માટે, પતાવ્યા સિવાય આવો, ‘પોલીસવાળો’ કહે, ‘ઊભી રાખો’ અને તમે ઊભી ના રાખી તો પછી અહીં પોલીસવાળા આવે. તો તમે તરત સમજી જાવ કે આ મારા માટે આવ્યો છે. કારણ કે ભૂલ કરી એ આપણને તરત ખ્યાલમાં આવી જાય કે આ ભૂલ કરી. એ ભૂલ ભાંગો. મારું શું કહેવાનું છે ? નરી ભૂલો જ થયેલી છે. એ ભાંગો. અત્યાર સુધી પારકાની જ ભૂલો દેખાઈ, પોતાની ભૂલ દેખાઈ નથી. પોતાની ભૂલ દેખે, ભાંગે એ ભગવાન થાય. મૂળ ભૂલ કઈ ?અને આ બાજુ સાધુઓ-સંન્યાસીઓ ઇચ્છાઓ ખસેડ ખસેડ કરે છે. તે ઇચ્છાઓ તો કંઈ ખસે એવી નથી. ડબલ થઈને આવે એવી છે. મૂળ ભૂલ ક્યાં થયેલી છે તે ખબર નથી લોકોને. એ ઇચ્છાઓ આવે એ ભૂલ નથી. એની મૂળ ભૂલ દબાવીએને આપણે, ચાંપ દબાવીએને આપણે તો પંખો બંધ થઈ જાય. આમ પંખો ઝાલ ઝાલ કરીએ તો વળે નહીં. એની મૂળ ભૂલ દબાવીએ. ‘હું ચંદુભાઈ છું’ એ જ મૂળ ભૂલ છે. મૂળ ભૂલ જ આ છે. એ આરોપિત ભાવ છે. સાચો ભાવ નથી એ. જેમ અહીં આગળ ઈન્દીરા ગાંધી જેવા કપડાં પહેરી અને બધાને કહે, ‘હું ઈન્દીરા ગાંધી છું’ અને એમ કરીને એનો લાભ ઉઠાવે, તો એનો ગુનો લાગુ થાય કે ના થાય ? એવી રીતે ‘હું ચંદુભાઈ છું’, તેનો નિરંતર લાભ ઉઠાવે છે. એ આરોપિત ભાવ કહેવાય તેના ગુના. એટલે તમારી ભૂલો (મીસ્ટેક્સ) અને તમારા બ્લંડર્સ, આ બે જ તમારા ઉપરી છે. તમારી બ્લંડર્સ શું હશે ? ‘હું ચંદુભાઈ છું’ એ પહેલું બ્લંડર. ‘હું (પા.૩)આમનો દીકરો થાઉં’ એ બીજું બ્લંડર. ‘હું આનો ધણી થઉં’ એ ત્રીજું બ્લંડર. ‘હું આ છોકરાનો બાપ થઉં’ એ ચોથું બ્લંડર. એવાં કેટલાં બ્લંડર્સ કર્યા છે ? પ્રશ્નકર્તા : અનેક થયાં હશે. દાદાશ્રી : હા. તે આ બ્લંડર્સ છે તે તમારાથી તૂટશે નહીં. અમે બ્લંડર્સ તોડી આપીએ અને પછી મિસ્ટેક્સ હોય તે તમારે કાઢવાની. તે કોઈ ઉપરી છે નહીં. વગર કામનો અજંપો !! તમને સમજાય છેને, ઉપરી નથી એવું ? ચોક્કસ ખાતરી થઈ ગઈ ? ભૂલો ક્યારે જડે ?લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ (તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો) પોતે જ પોતાનો ઉપરી છે, આમાં બીજો કોઈ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ(ઉપરી) છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ(હાથ નીચેના) છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ તો ભાંગવી પડશે ને ? પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઈતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે ‘પોતે કોણ છે ?’ એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે ! કોણ જગતનો માલિક ?આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાંની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો ! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ ! હજી એવું શાથી સમજાયું નથી ? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે. (પા.૪)અમારો ઉપરી કોઈ બાપોય નથી. આ ઉપર બોસ છે કે બાપોય ઉપર બેઠો છે, એવું નથી. જે છો એ તમે જ છો અને તમને દંડ આપનારોય કોઈ નથી ને તમને જન્મ આપનારોય કોઈ નથી. તમે પોતે જન્મ લો છો ને ધારણ કરો છો ને આ પાછું જાવ છો ને આવો છો. જાવ છો ને આવો છો. તમારી મરજી મુજબના સોદા છે. હિન્દુસ્તાનમાં આવતા સુધી તો જાણે કે કુદરતી સાહજીક રીતે છે, પણ આ હિન્દુસ્તાનમાં આવ્યા પછી થોડું ઘણું સમજાય કે આપણી કંઈક ભૂલ થાય છે. ડાહ્યા માણસ જો આટલું જ સમજે કે શું મારામાં કોઈ પણ માણસ સળી કરી શકે એમ નથી ? તો આપણે કહીએ કે નથી, નથી, નથી !!! અને કહેશે, ‘મારો ઉપરી કોઈ નથી ?’ ત્યારે કહીએ, ‘નથી, નથી, નથી !!!’ તારા ઉપરી તારા બ્લંડર્સ અને મિસ્ટેક્સ. બ્લંડર્સ કેમ ભાંગવા ? તો અમે કહીએ કે અહીં આવજે બા અને મિસ્ટેક કેમ ભાંગવી ? તે અમારે તને સમજ પાડવી પડે. પછી તારે ભાંગવાની. અમે રસ્તો દેખાડીશું. મિસ્ટેક ભાંગવાની તારે અને બ્લંડર્સ અમારે ભાંગી આપવાનાં. અણસમજણે સર્જ્યા દુઃખદુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાઝું ? એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું. પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ? દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુઃખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ? (પા.૫)સામો તો છે માત્ર નિમિત્તઆપણને મકાનની અડચણ હોય ને કોઈ માણસ મદદ કરે અને મકાન આપણને રહેવા આપે, તો જગતના મનુષ્યોને એની પર રાગ થાય અને જ્યારે એ મકાન લઈ લેવા ફરે તો એની પર દ્વેષ થાય. આ રાગ-દ્વેષ છે. હવે ખરેખર તો રાગ-દ્વેષ કરવાની જરૂર નથી, એ નિમિત્ત જ છે. એ આપનારો ને લઈ લેનારો, બન્ને નિમિત્ત છે. તમારા પુણ્યનો ઉદય હોય ત્યારે એ આપવા માટે ભેગો થાય, પાપનો ઉદય હોય ત્યારે લેવા માટે ભેગો થાય. એમાં એનો કશો દોષ નથી. તમારા ઉદયનો આધાર છે. સામાનો કિંચિત્માત્ર દોષ નથી. એ નિમિત્ત માત્ર છે એવું આપણું જ્ઞાન કહે છે. કેવી સુંદર વાત કરે છે ! અજ્ઞાનીને તો કોઈક મીઠું મીઠું બોલે ત્યાં આગળ રાગ થાય ને કડવું બોલે ત્યાં દ્વેષ થાય. સામો મીઠું બોલે છે તે પોતાની પુણ્યૈ પ્રકાશિત છે ને સામો કડવું બોલે છે તે પોતાનું પાપ પ્રકાશિત છે. તેથી મૂળ વાતમાં, બેઉ સામા માણસને કશું લેવા-દેવા નથી. બોલનારને કશું લેવા-દેવા નથી. સામો માણસ તો નિમિત્ત જ થાય છે. જે જશનો નિમિત્ત હોય એનાથી જશ મળ્યા કરે અને અપજશનો નિમિત્ત હોય એનાથી અપજશ મળ્યા કરે. એ નિમિત્ત જ છે ખાલી. એમાં કોઈનો દોષ નથી. પ્રશ્નકર્તા : બધા નિમિત્ત જ ગણાયને ? દાદાશ્રી : નિમિત્ત સિવાય આ જગતમાં કોઈ ચીજ બીજી છે જ નહીં. તેય નિમિત્ત જ છે. પ્રશ્નકર્તા : બજારમાંથી અહીં સત્સંગમાં આવ્યો એ કયું નિમિત્ત ? દાદાશ્રી : એ તો કર્મનો ઉદય. નિમિત્તનો કશો સવાલ જ નથી. ઉદયકર્મ, બજારના કર્મના ઉદય પૂરા થયાં, એટલે આ કર્મનો ઉદય અહીં ચાલુ થયો. એટલે એની મેળે વિચાર આવે કે ચાલો ત્યાં જઈએ. નિમિત્ત ક્યારે કહેવાય ? અહીં આવવા માટે નીકળ્યા, દાદર સ્ટેશને ઊતર્યા, થોડેક સુધી આવ્યા ને કો’ક મળ્યું કે ભાઈ, પાછાં ચાલો. મારે આમ છે ને મારે ખાસ કામ (પા.૬)છે. ત્યારે આપણે જાણીએ કે આ નિમિત્ત આવ્યું. નહીં તો ચાલુ ગાડી, એ તો કર્મના ઉદય પ્રમાણે ચાલ્યા કરે. ન વાગે વેણ, વિના વાંકપ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ? દાદાશ્રી : આપણો વાંક ના હોય તે બોલે, તે કોઈને એવો અધિકાર નથી બોલવાનો. જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે. હવે એ આપણી ભૂલ છે માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સદ્બુદ્ધિ આપજો. એટલું જ કહેવું. કારણ કે એ નિમિત્ત છે. બચકાં ભરવા નિમિત્તનેઅમને તો કોઈ માણસનો ખરાબ વિચાર સરખોય નથી આવતો. આડુંઅવળું કરી જાય તોય ખરાબ વિચાર નહીં. કારણ કે એની દ્રષ્ટિ, બિચારાને જેવું દેખાય છે એવું કરે છે, એમાં એનો શો દોષ છે ? અને ખરી રીતે, એક્ઝેક્ટલી શું છે આ જગત કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્રષ્ટિમાં ફેર છે. મને કોઈ દોષિત દેખાયો નથી અત્યાર સુધી. માટે કોઈ દોષિત છે નહીં, એમ કરીને આપણે ચાલજો ને ! આપણે છેલ્લું સ્ટેશન છે તે સેન્ટ્રલ છે એવું જાણીને ચાલીએ તો ફાયદો થાય કે ના થાય ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, થાય ફાયદો. (પા.૭)દાદાશ્રી : કોઈ દોષિત છે નહીં એમ જાણશો તો જ બીજા બધાં નિર્દોષ લાગશે આપણને ! કારણ કે આપણે નિમિત્ત છીએ. એ બિચારા નિમિત્ત છે અને આપણા લોકો નિમિત્તને બચકાં ભરે છે. નિમિત્તને બચકાં, એવું ભરે ખરું કોઈ દા’ડો ? ના ભરે, નહીં ? નિમિત્તને બચકાં ભરે ? પ્રશ્નકર્તા : આપણે નિમિત્તને બચકાં ભરીએ છીએ, પણ ભરવા ન જોઈએ. દાદાશ્રી : પારકો દોષ જોવો એને અમે નિમિત્તને બચકાં ભરવાની સ્થિતિ કહીએ છીએ. અરેરે, નિમિત્તને બચકાં ભર્યાં તેં ? એ તને ગાળો ભાંડે છે, એ તારા કર્મનો ઉદય છે. આ ઉદય તારે ભોગવવાનો છે. વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભઈ, તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો છે. ઉપકારી છે તેને બદલે તું ગાળો ભાંડે છે ? તું એને બચકાં ભરે છે, એટલે એ નિમિત્તને બચકાં ભર્યાં કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલાં કે ના, અમે બચકું ભરીશું નહીં હવે કોઈ દહાડોય ! ‘આ મને છેતરી ગયો’ તેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે ! એનાં કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઈએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઉલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે. અનુમોદનનું ફળપ્રશ્નકર્તા : બીજાના દોષે પોતાને દંડ મળે ? દાદાશ્રી : ના, એમાં કોઈનોય દોષ નહીં. પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને. આ તો ભોગવે એની ભૂલ. કરવું, કરાવવું અને અનુમોદવું. એ અનુમોદનનુંય ફળ આવે. કર્યા વગર ફળ ના આવે. પ્રશ્નકર્તા : અનુમોદન કોને કહેવાય ? દાદાશ્રી : આ કોઈ કાંઈ કરતાં અચકાતો હોય તો તમે કહો કે ‘તું તારે (પા.૮)કર, હું છું ને !’ તે અનુમોદન કહેવાય અને અનુમોદન કરનારની વધારે જોખમદારી કહેવાય ! કર્યાનું ફળ કોને વધારે મળે ? ત્યારે કહે, જેણે વધારે બુદ્ધિ વાપરી, તેના આધારે તે વહેંચાઈ જાય. ન પડકાર, તો પૂર્ણતા પમાયઆ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે ‘રિસ્પોન્સિબલ’ (જવાબદાર) તમે છો. કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે. અને જો કોઈ કંઈ પણ કરી શક્યું હોય તો ‘ફીયર’ (ડર)નો પાર જ ના રહેત ! તો તો પછી કોઈ કોઈને મોક્ષે જ ના જવા દે. તો તો ભગવાન મહાવીરનેય મોક્ષે જવા ના દેત ! ભગવાન મહાવીર તો કહે છે કે તમને જે અનુકૂળ આવે તે ભાવ મારી ઉપર કરો. તમને મારી ઉપર વિષયના ભાવ આવે તો વિષયના કરો, નિર્વિષયીના ભાવ આવે તો નિર્વિષયીના કરો, ધર્મના ભાવ આવે તો ધર્મના કરો, પૂજ્યપદના આવે તો પૂજ્યપદ આપો, ગાળો દેવી હોય તો ગાળો દો. મારે એનો પડકાર નથી. જેને પડકાર નથી એ મોક્ષે જાય છે અને પડકાર કરવાવાળાનો અહીં મુકામ રહે છે. નહીં તો આ જગત તો એવું છે ને તમારી ઉપર અવળો કે સવળો ભાવ બાંધ્યા જ કરે. ગજવામાં તમે રૂપિયા મૂકતા હોય ને તે કો’ક ગજવું કાપનારાના જોવામાં આવી ગયું તો એ ગજવું કાપવાના ભાવ કરે કે ના કરે ? કે રૂપિયા છે, કાપી લેવા જેવું છે, પણ ત્યાં તો તમે ગાડી આવી ને બેસી ગયા ને તમે ઉપડી ગયા અને એ રહી ગયો, પણ એ ભાવ તો કરે જ જગત ! પણ તેમાં તમારો પડકાર નથી તો કોઈ તમારું નામ દેનાર નથી. કોઈના પણ ભાવમાં તમારો ભાવ નથી તો કોઈ તમને બાંધનાર નથી. એમ બાંધે તો પાર જ ના આવેને ? તમે સ્વતંત્ર છો, કોઈ તમને બાંધી શકે એમ નથી. એકમાંથી અનંત, અજ્ઞાનતાથીઆ આંખ હાથથી દબાઈ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય. આંખ એ આત્માનું રિયલ સ્વરૂપ નથી. એ તો રિલેટિવ સ્વરૂપ છે. છતાં, એક ભૂલ (પા.૯)થવાથી એકને બદલે બે દેખાય છે ને ? આ કાચના ટુકડા જમીન ઉપર પડ્યા હોય તો કેટલી બધી આંખો દેખાય છે ? આ જરાક ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે ? તેમ આ આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગના પ્રેસર (દબાણ)થી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત્ સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તોય કર્મ ચોંટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અડે. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે. તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે. બે જ વસ્તુ વિશ્વમાંસંયોગો અને શુદ્ધાત્મા બે જ છે. સંયોગો ઊભા કેમ થયા ? સંયોગ બધાંને જુદા જુદા આવે. હા, કોઈને આખી જિંદગી કોઈ મારનાર ના મળે અને કોઈને આખી જિંદગીમાં કેટલીય વખત માર ખાવો પડે. અને આવો સંયોગ કેમ થાય છે ને આને આવો કેમ ? કારણ કે એણે કોઈને મારવાનો ભાવ જ કર્યો નહોતો, એટલે એને એવાં સંયોગ અને આણે મારવાના ભાવ કર્યા હતા તેથી એને આવો સંયોગ. એટલે એ સંયોગો શાથી આવ્યા, તેનાં પણ કારણો જડે એવાં છે. આ સંયોગ કયા કારણથી ભેગો થયો એ પણ જડે એવું છે. રસ્તામાં કોઈ ગરીબ માણસ મળ્યો અને બહુ રડતો હોય તો તમે અગિયાર રૂપિયા આપતા હોય, તો આ ભાઈ કહેશે કે રહેવા દોને, એને રૂપિયો જ આપોને, અગિયાર રૂપિયા એને શાના આપો છો ? હવે પેલો લેનાર, આપનાર તમે અને આમણે ના પાડી એટલે અંતરાય પડ્યો. પેલાને મળતું હતું, તેમાં આંતરો પડ્યો. તે અંતરાય કર્મથી રૂપિયા એમની પાસે ભેગા ના થાય. હવે આ જે જે બધું કર્યું આ એના જ બધા સંયોગો ભેગા થયેલા છે. કંઈ નવા સંયોગો નથી. તમારો કોઈ ઉપરી છે નહીં, તેમ તમારો અંડરહેન્ડ પણ કોઈ છે નહીં. જગત બધું સ્વતંત્ર છે. તમારી ભૂલો જ તમારી ઉપરી છે (પા.૧૦)બસ, આપણી ભૂલો હોય તે જ ! ભૂલો ને બ્લંડર્સ !!! એટલે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ દેનારુંય નથી આ વર્લ્ડમાં. જુઓ, રસ્તામાં કોઈ નામ દે છે ? પોલીસવાળા, ચેકીંગવાળા કોઈ કશું પજવે છે ? હેરાન કરે છે ? કારણ કે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ જ ના દે. આમંત્રી ધોલને, વળતર સહિતકોઈ આપણને ગાળો ભાંડે, આપણને ખોટું સાંભળવાનું મળ્યું, એ તો બહુ પુણ્યશાળી કહેવાય, નહીં તો એ મળે નહીંને ! હું પહેલાં એવું કહેતો હતો, આજથી દસ-પંદર વર્ષ ઉપર કે ભઈ, કોઈ પણ માણસ પૈસાની અડચણવાળો હોય, તો હું કહું છું કે મને એક ધોલ (તમાચો) મારજે, હું પાંચસો રૂપિયા આપીશ. એક માણસ મળેલો, મેં એને કહ્યું કે, ‘તારે પૈસાની ભીડ છેને ? સો- બસ્સોની ? તો તારી ભીડ તો આજથી જ નીકળી જશે. હું તને પાંચસો રૂપિયા આપું, તું મને એક ધોલ માર.’ ત્યારે કહે, ‘ના દાદા, આવું નહીં થઈ શકે.’ એટલે ધોલ મારનારાય ક્યાંથી લાવે ? વેચાતા લાવે તોય ઠેકાણું પડે એવું નથી ને ગાળો દેનારાનુંય ઠેકાણું પડે એવું નથી. ત્યારે જેને ઘેર બેઠાં એવું ફ્રી ઑફ કોસ્ટ (મફત) મળતું હોય તો ભાગ્યશાળી જ કહેવાયને ! કારણ કે મને પાંચસો રૂપિયા આપતાંય કોઈ મળતું નહોતું. તે જ્ઞાન થતાં પહેલાં તો હું મારી જાતને ગાળો ભાંડતો હતો, કારણ કે મને કોઈ ગાળો ભાંડતું નહોતું ને ! ત્યારે વેચાતી ક્યાંથી લાવીએ આપણે ? ને વેચાતું કોણ આપે ? આપણે કહીએ કે તું મને ગાળ દે, તોય કહેશે કે ના તમને ગાળ ના દેવાય. એટલે પૈસા આપીએ તોય ગાળો કોઈ ના દે. એટલે પછી મને મારી જાતે ગાળો દેવી પડતી હતી, ‘તમારામાં અક્કલ નથી, તમે મૂરખ છો, ગધેડા છો, આવા છો, કઈ જાતના માણસ છો, મોક્ષધર્મ કંઈ અઘરો છે કે તમે આટલું બધું તોફાન માંડ્યું છે ?’ એવી ગાળો જાતે દેતો હતો. કોઈ ગાળો દેનાર ના હોય ત્યાર પછી શું કરીએ ? તમને તો ઘેર બેઠાં કોઈ ગાળો દેનાર મળે છે, ફ્રી ઑફ કોસ્ટ મળે છે ત્યારે તેનો લાભ ના ઉઠાવવો જોઈએ ? (પા.૧૧)બહારવટિયોય છપાય શીલવાન સમક્ષશીલનો પ્રભાવ એવો છે, જગતમાં કોઈ નામ ના દે એનું. બહારવટિયાની વચ્ચે રહેતો હોય, બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા શરીરે બધા સોનાના દાગીના પહેર્યા હોય ને બહારવટિયા ભેગા થયા હોય. બહારવટિયા જુએય ખરા પણ અડાય નહીં, અડી શકે નહીં. બિલકુલ ગભરાવા જેવું જગત જ નથી. જે કંઈ ગભરામણ છે એ તમારી જ ભૂલનું ફળ છે એમ અમે કહેવા આવ્યા છીએ. લોકો એમ જ જાણે છે કે જગત અડસટ્ટો છે. પ્રશ્નકર્તા : સમજણની એટલી કચાશ ! દાદાશ્રી : એ સમજણની કચાશને લીધે જ જગત ઊભું રહ્યું છે. એ અમે કહેવા માગીએ છીએ કે જગતમાં ભય રાખવા જેવો છે જ નહીં. જે ભય આવે છે એ તમારો હિસાબ છે. ચૂકતે થઈ જવા દો. અહીંથી ફરી નવેસરથી ધીરશો નહીં. તમને કોઈ અવળું કહે, એ તમને છે તે મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે ? એટલે તમે એને પછી પાંચ ગાળ ભાંડો. એટલે જે તમારો હિસાબ હતો તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ ધીરેલી હતી તે પાછી આપવા આવ્યો, તે આપણે જમે કરી લેવાની હતી તેને બદલે પાંચ તમે ધીરી. ને પાછી આ એક તો સહન થતી નથી ત્યાર હોરો બીજી પાંચ ધીરી. તે હવે આમાં મનુષ્યોની શી રીતે બુદ્ધિ પહોંચે ? તે ધીર ધીર કરી અને ગૂંચાગૂંચ કરે છે. ગૂંચવાડો બધો ઊભો કરે છે. આ અમે પંદર વરસથી ધીરતા નથી, તે કેટલા ચોપડા ચોખ્ખા થઈ ગયાને બધા ! ધીરવાનું જ બંધ કરી દીધુંને ! જમે જ કર. ‘આમને’ કહી દીધેલુંને, જમે કરી દેજો. સહેલું છેને, માર્ગ સહેલો છેને ? હવે આ શાસ્ત્રમાં લખેલું ના હોય. કોઈ કશું કરી શકે નહીં. તમે સ્વતંત્ર છો. તમારા ઉપરી જ કોઈ નથી. (પા.૧૨)ભગવાન જ ઉપરી નથી ત્યાં આગળ પછી ! ભગવાનના ઓઠા નીચે તમે વાંધો ઉઠાવો છો કે ભગવાન છે, દયા કરશે આપણી ઉપર ! ‘હઉ થશે’ એમ કરીને ઊંધું કરો છો, જવાબદારી વહોરો છો ! ન રહ્યો ભોગવટો જ્ઞાનીનેકોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીય ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય ને જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે જમે કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તે ઉધાર થાય, પણ તરત જ કૅશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઈને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહીં રાખવું. અને જો કોઈના થકી આપણને અતિક્રમણ થાય તો આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. ભૂલ ભાંગે તે પરમાત્માજેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાંખવી છે, તે પરમાત્મા થઈ શકે છે. આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો તો પરમાત્મા જ છીએ. જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. તે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે. ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે. (પા.૧૩)દીધા આધાર ભૂલોને, ઉપરાણાં લઈનેપ્રશ્નકર્તા : દાદા, ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે ? દાદાશ્રી : આ આપણે કોઈને ટૈડકાવ્યા પછી કહીએ કે, ‘આપણે એને ટૈડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં. માટે એને ટૈડકાવવો જ જોઈએ.’ આનાથી તો એ ‘ભૂલ’ જાણે કે આ ભાઈને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે. માટે અહીં જ ખાઓ, પીઓ ને રહો. એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું વીસ વર્ષનું આયુષ્ય લંબાય. કોઈ ભૂલનું ઉપરાણું ના લેવાય. કૂંચી ભૂલો ભાંગવાનીમન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય. પ્રશ્નકર્તા : અત્યારે ભૂલ થાય છે એ ગયા અવતારની ખરીને ? દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતા જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. આ જ્ઞાની પુરુષોની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય. જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે, રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે ‘આપણે તો આ દુનિયામાં રહેવું છે, તે આમ શી રીતે કરાય ?’ અલ્યા, આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ. એક તો મૂઓ ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો ‘કલ્પ’ (કાળચક્ર)ના અંત સુધી રહેવું પડશે ! (પા.૧૪)ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાંક કાપડ ખેંચી ખેંચીને આપે છે અને ઉપરથી કહે છે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું. આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ? ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને પાંચસો રૂપિયા કમાય. એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે. બંધ કરો કષાયનું પોષણકોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક ના આપીશ. તો બધા મડદાલ થઈ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ-માન-માયા-લોભનું ઉપરાણું. જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો તે ભાગી જાય. જ્ઞાની પુરુષના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ન આવે. આવી અનંતી ભૂલો છે. આ એક જ ભૂલ નથી. અનંતી ભૂલો ફરી વળી છે. પ્રશ્નકર્તા : પણ વધારે દોષ દેખાતા નથી. થોડાક જ દેખાય છે. દાદાશ્રી : અહીં સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતાં જાય તેમ દોષો દેખાતા જાય. પ્રશ્નકર્તા : દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે ? દાદાશ્રી : મહીં જાગૃતિ તો બહુ છે. પણ દોષોને ખોળવાની ભાવના થઈ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઇચ્છા થાય ત્યારે ચોર જડી જાય. પણ આ જો પોલીસવાળો કહે કે ‘કંઈ ચોર પકડવા જેવું નથી. એ તો આવશે તો પકડીશું.’ એટલે પછી ચોર મજા કરે જ ને ? આ ભૂલો તો સંતાઈને બેઠી છે. તેને શોધો તો તરત જ પકડાઈ જાય. બધી જ કમાણીનું ફળ શું ? તમારા દોષો એક પછી એક તમને દેખાય (પા.૧૫)તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ પોતે પોતાના બધા જ દોષો જુએ એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો ક્યારે દેખાશે ? જ્યારે પોતે સ્વયં થશે, ‘સ્વસ્વરૂપ’ થશે ત્યારે. જેને પોતાના દોષ વધુ દેખાય એ ઊંચો. જ્યારે આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે. અંધાપો ન દેખવા દે દોષનેતને તારા દોષ કેટલા દેખાય છે ? અને કેટલા દોષ તું ધોઈ નાખું છું ? પ્રશ્નકર્તા : દોષ તો ઘણાં દેખાય છે. જેવી રીતે ક્રોધ છે, લોભ રહેલો છે. દાદાશ્રી : એ તો ચાર-પાંચ દોષો, એ દેખાયા તે ના દેખાયા કહેવાય. અને કોઈકના તરફ દોષ જોવાનું, તે કેટલા જોઈ આપું ? પ્રશ્નકર્તા : ઘણાં બધા દેખાય. દાદાશ્રી : બહુ જોઈ આપું તું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કો’કના તો રસ્તે જતાય, તને ચાલતા નથી આવડતું, તું આમ ચાલું છું, તું આવો છું, બધા બહુ જાતના દોષ દેખાય અને પોતાના દોષ જડે નહીં. કારણ કે ક્રોધ-માન-માયા-લોભથી અંધ છે. લોભનો અંધ, ક્રોધનો અંધ, માયાનો અંધ, માનનો અંધ - બધું અંધ સ્વરૂપે છે. ઊઘાડી આંખે અંધા થઈને ફરે છે, ભટક ભટક કરે છે. કેટલી ઉપાધિ કહેવાય ! ઊઘાડી આંખે આખું જગત ઊંઘી રહ્યું છે અને બધાં ઊંઘમાં જ કરી રહ્યાં છે, એવું ભગવાન મહાવીર કહે છે. કારણ કે પોતાનું અહિત કરી રહ્યા છે. ઊઘાડી આંખે અહિત કરી રહ્યા છે, એને ભગવાને ભાવનિદ્રા કહી. આખું જગત ભાવનિદ્રામાં પડેલું છે. ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થયા પછી ભાવનિદ્રા સર્વાંશે ગઈ કહેવાય, જાગૃત થયા કહેવાય. (પા.૧૬)બુદ્ધિ વકીલાતે, જીતે દોષજાગૃત થયા એટલે બધી ખબર પડે અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે. નહીં તો પોતાને પોતાની એકુંય ભૂલ જડે નહીં. બે-ચાર મોટી ભૂલ હોયને તે દેખાય. એને પોતાને દેખાય એટલી જ. કોઈક ફેરો બોલેય ખરાં કે જરા ક્રોધ ખરો ને સહેજ લોભેય ખરો એમ બોલે ખરાં, પણ આપણે કહીએ ‘તમે ક્રોધી છો’. એટલે પોતાના ક્રોધનું રક્ષણ કરે, બચાવ કરે, વકીલાત કરે. અમારો ક્રોધ એ ક્રોધ ગણાય નહીં એવી વકીલાત કરે અને જેની વકીલાત કરો, એ હંમેશાં તમારી પર ચઢી બેસે. જગતના બધા લોકોને ક્રોધ-માન-માયા-લોભ કાઢવાં છે. કોને કાઢવાની ઇચ્છા ના હોય ? એ તો વેરવી જ છે, એવું બધા જાણે છે છતાં રોજ જમાડે છે ને મોટાં કરે છે. પોતાની ભૂલ જ દેખાય નહીં પછી માણસ ભૂલોને ખોરાક જ આપે ને ! કરે જ્ઞાની એકરાર, નિજદોષના...ભૂલ થઈ હોય, પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું ? બધા બેઠા હોય ને કો’ક એક જણ આવ્યો ને કહે, ‘મોટા જ્ઞાની થઈ બેઠાં છો, હુકલી તો છૂટતી નથી.’ એમ બધું બોલેને, ત્યારે હું કહું કે ‘મહારાજ, આ આટલી ઊઘાડી નબળાઈ છે એ હું જાણું છું.’ તમે આજ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું છું. જો હું એમ કહું કે, ‘અમારા જ્ઞાનીઓને કશું અડે નહીં.’ એટલે પેલો હુક્કો મહીં અંદર સમજી જાય કે અહીં વીસ વર્ષનું આયુષ્ય આપણું વધ્યું ! કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે. એ એવો હું કાચો નથી. રક્ષણ કોઈ દહાડો નથી કર્યું. લોક રક્ષણ કરે કે ના કરે ? પ્રશ્નકર્તા : હા કરે, બહુ જોરદાર કરે. દાદાશ્રી : એક સાહેબ છીંકણી સુંઘતા હતા, આમ કરીને. મેં કહ્યું, ‘સાહેબ, આ છીંકણીની જરૂર છે તમારે ?’ ત્યારે એ કહે, ‘છીંકણીનો તો કંઈ વાંધો નહીં.’ મેં કહ્યું, આ સાહેબને ખબર જ નથી કે આ છીંકણીનું મહીં આયુષ્ય (પા.૧૭)વધારી આપો છો ! કારણ કે આયુષ્ય એટલે શું ? કોઈ પણ સંયોગ છે તે વિયોગનું નક્કી થયા પછી સંયોગ ભેગો થાય. આ તો નક્કી થયું હોય એનું પાછું આયુષ્ય વધારે આમ ! કારણ કે જીવતો માણસ ગમે એટલું વધ-ઘટ કરાવડાવે એટલે શું થાય પછી ?! આ બધા આયુષ્ય વધારે છે, દરેક બાબતમાં એનું રક્ષણ કરે છે કે ‘કશો વાંધો નહીં, અમને તો અડે જ નહીં.’ ખોટી વસ્તુનું રક્ષણ કરવું એ તો ભયંકર ગુનો છે. પ્રશ્નકર્તા : અને શુષ્ક અધ્યાત્મમાં ઊતરી ગયા હોય તો તે એમ કહે કે આત્માને કશું અડે નહીં. આ તો પુદ્ગલને છે બધું. દાદાશ્રી : એ તો બધા બહુ છે અહીં. ગોળ ગોળ ગોળ ગોળ કરે પેલાં. એવો જ માલ, એ શુષ્ક કહેવાય. પછી બધું સાંભળ્યા પછી હું કહું કે ભગવાને કહ્યું છે કે આટલા લક્ષણ જોઈએ. મૃદુતા, ઋજુતા, ક્ષમા ! આ તો મૃદુતા દેખાતી નથી, ઋજુતા દેખાતી નથી, આમ તો અકડાઈ ! અકડાઈ ને આત્માને બહુ છેટું છે. આ તો પોલ ચાલ્યું જાય છે. આ લોકો જવાબ આપી શકતા નથી એટલે પછી આ બધા પોલ મારવા જાય. પણ મારા જેવા જવાબ આપે ને ? તરત જવાબ આપે. બીરબલ જેવો તરત હાજરજવાબ. દોષો સ્વીકારો, ઉપકાર માનીનેઅમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ (સ્વીકાર) કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે, ‘હા, ભાઈ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.’ આપણે તો જાણીએ કે જે ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનું નહીં, એમને દેખાય છે માટે દોષ છે જ. મારા કોટની પાછળ લખ્યું હોય કે ‘દાદા ચોર છે.’ લોક પછી પાછળ બોલે કે ના બોલે ? શાથી ‘દાદા ચોર છે’ એવું બોલે છે ? (પા.૧૮)કારણ કે મારી પાછળ લખ્યું છે, બોર્ડ માર્યું છેને, તે એને દેખાય છે ! તે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે હા, પાછળ બોર્ડ માર્યું છે. ભલે બીજું કોઈક લખી ગયું હશે, પણ આ બધાંને વાંચતા તો આવડેને ! પ્રશ્નકર્તા : દાદાએ આપ્તવાણીમાં એમ લખ્યું છે કે ‘દાદા ચોર છે’ એવું કોઈ લખી આપે તો મહાન ઉપકાર માનવો. એવું લખ્યું છે. દાદાશ્રી : હા, લખ્યું છે. પ્રશ્નકર્તા : એટલે એ કેવી રીતે ? દાદાશ્રી : હા, ઉપકાર નહીં માનો તો એમાં તમને આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? એના બાપનું શું જવાનું છે ? એ તો નાદાર જ થઈને ઊભો રહેશે ને તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું, ‘ભાઈ, તમારો ઉપકાર છે બા’ ! આપણી નાદારી ના નીકળે એટલા હારુ. એ તો નાદાર થઈને ઊભો જ રહેશે, એને શું ? એને દુનિયાની પડેલી નથી. આ તો બોલે. બેજવાબદારીવાળું વાક્ય કોણ બોલે ? જેને પોતાની જવાબદારીનું ભાન નથી તે બોલે. તો એના જોડે આપણે ભસવા જઈએ તો આપણેય કૂતરાં કહેવાઈએ. એટલે આપણે કહીએ, ‘તારો ઉપકાર છે બા’. પ્રશ્નકર્તા : આપણા દોષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને સમજીએ એટલા માટે આપણે એનો ઉપકાર માનવો ? દાદાશ્રી : હા, જ્યાં જ્યાં દોષ આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરેય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો. તો અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખુંચતો હોય તો તે ‘બહુ સારો માણસ, આ તો આપણો ઉપકારી છે’ કહેશો તો બંધ થઈ જશે ખુંચતું. એટલે આ શબ્દ અમે જે આપીએ છીએને, એક-એક શબ્દ દવાઓ છે. આ બધા દરઅસલ મેડીસીન છે, દરઅસલ ! નહીં તો ‘ચોર’ કહે તેનો ઉપકાર માનજો એ વાક્ય શી રીતે સમજાય એને ? એટલે (પા.૧૯)તમે મને પૂછવા ના આવો ને તમારા પરિણામ બધાં બદલાઈ જાય, એના કરતાં તમે ઉપકાર માનજો, દાદાનું કહ્યું એટલું કરજો કે એનો ઉપકાર છે ભઈ, આ દાદાએ કહ્યું છે માટે. પ્રશ્નકર્તા : દાદા ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માનીએ એમાં શું વાંધો પછી ? દાદાશ્રી : હા, આપણે એવો હિસાબ લેવો કે ‘સારુંને, ચોર એકલા કહે છે.’ લુચ્ચો છે, બદમાશ છે, નાલાયક છે એવું બધું નથી કહેતા. એટલો સારો છેને ? નહીં તો એનું મોઢું છે. એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ? આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં. આ વાત સૈદ્ધાંતિક છે. કેવી રીતે કે તમે મને કહો કે, ‘દાદા, આ પેલો તમને ‘ચોર’ કહે છે. તો તમે શું કરો ?’ ત્યારે હું કહું કે, ‘ભઈ, ઉપકાર માનવો.’ કેમ કહે છે, ઉપકાર માનો તમે ? શા બદલ ? ત્યારે કહે છે, કોઈ કહે નહીં આવું. આ પડઘો છે કશાકનો, તે મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું. આ જગત પડઘા સ્વરૂપે છે. એની હન્ડ્રેડ પરસન્ટ ગેરન્ટી લખી આપુ હું. એટલે અમેય ઉપકાર માનીએ તો તમારેય ઉપકાર જ માનવો જોઈએ ને ! અને તમારું મન બહુ સારું રહેશે. ‘ચોર કહે છે’ તેનો ઉપકાર માને છે. નહીં તો પછી તમને સહેજે લાગણી થઈ જાય કે, દાદા માટે આવું બોલે છે ?! મહાવીર માટે આવડાં આવડાં શબ્દો બોલતા હતા તોય લોકોએ પચાવ્યા. એમના ભક્તોએ બધાએ પચાવ્યા એમના શબ્દો. જે જે બોલે એ બધું પચાવી લેતા હતા. ભગવાને શીખવાડેલું એવું. ‘આ’ તર્કટ કરનાર ‘તું’ જપ્રશ્નકર્તા : એટલે જગત નિર્દોષ છે એ સમજવાની દ્રષ્ટિ હવે કેળવવી પડેને ? દાદાશ્રી : એટલે આ વાવને આપણે જો ના બોલ્યા હોય તો ડખો જ (પા.૨૦)નહોતો. એટલે આપણે પછી સામાનો દોષ કાઢીએ છીએ કે તું મને આવું કેમ બોલે છે ? તર્કટ આપણે ઊભું કર્યું અને પછી વાવને કહીએ કે, તું અમને આવી ગાળ કેમ આપે છે ? ત્યાર પછી કોઈ કહેશે, અલ્યા, એણે ગાળ દીધી, પણ તું વાવને એવું કહેને, ‘તું રાજા છે.’ ત્યારે વાવ પણ એમ કહેશે, ‘તું રાજા છે’ બસ. આ તો બધું પ્રોજેક્શન આપણું જ છે. અલ્યા, લે બોધપાઠ આનાથીલોકો મને કહે છે કે ‘તમારે તમારા દોષો કહેવાની શી જરૂર ? ફાયદો શો ?’ મેં કહ્યું, ‘તમને બોધપાઠ આપવા માટે કે તમને આવી હિંમત આવે. હું બોલું છું તે તમને હિંમત કેમ ના આવવી જોઈએ ? હંમેશા જે દોષ થયોને તે ખુલ્લો કરે તો મન પકડાઈ જાય. પછી મન ડરતું રહે કે આ તો ઊઘાડું કરી દેશે, ઊઘાડું કરી દેશે. ઊલટું આપણાથી ડરતું રહે. આ તો બહુ ભલા માણસ છે. ઊઘાડું કરી દેશે. અમે તો કહી દીધું કે અમે બધું ઊઘાડું કરી દઈશું. ઓપન ટુ સ્કાય (ખુલ્લે આમ) કરી નાખીશું. ત્યારે બધા દોષ જતા રહ્યા. ત્યારે વિલય થઈ જાય.’ ભૂલ ભાંગવાની રીતિ...તમારે કેટલી ભૂલો થતી હશે ? પ્રશ્નકર્તા : બે-ચાર-પાંચ થઈ જાય. દાદાશ્રી : કોણ ન્યાય કરનારું ? આ ભૂલ છે એવું ન્યાય કરનારું કોણ ? પ્રશ્નકર્તા : નુકસાન આવે ત્યારે લાગે કે ભૂલ કરી છે. દાદાશ્રી : ત્યારે ખબર પડે, નહીં ? પણ ન્યાય કરનાર કોણ આમાં ? ભૂલ કરનાર માણસ ભૂલ કબૂલ ના કરે એકદમ. ન્યાય કરનાર માણસ કહે કે આ તારી ભૂલ છે તો વળી સમજાય. તો કબૂલ કરે, નહીં તો કબૂલ ના કરે. ભૂલ કોઈ કબૂલ ના કરે આ દુનિયામાં અને જો સમજણ પડે તો કબૂલ કરે. એને શૂટ ઓન સાઈટ (દેખો ત્યાંથી ઠાર) કરવું જોઈએ. નહીં તો ભૂલ (પા.૨૧)ઘટે જ નહીં. તમારા ગામમાં કોઈ ભૂલ કબૂલ કરે ખરાં ? પ્રશ્નકર્તા : કબૂલ ના કરે. દાદાશ્રી : હા. કોઈ કબૂલ ના કરે. જો અક્કલના કોથળા વેચવા જાય તો ચાર આનાય ના આવે. અક્કલના કોથળાને વેચવા જાય તો આવે પૈસા ? બધાય અક્કલવાળા, હિન્દુસ્તાન દેશમાં બધા અક્કલવાળા તે કોણ પૈસા આપે ? કોઈ ભૂલ કબૂલ ના કરેને તમારે ત્યાં ? અને તું ભૂલ કબૂલ કરું છું તરત ? પ્રશ્નકર્તા : હા, તરત. મારી એક ભૂલ કહું ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : હું પાનાં રમવાનો બહુ શોખીન છું. દાદાશ્રી : એમ ! પાના રમવા એ તો હિસાબ છે. મહીં હિસાબ કરેલો પોતે, જે ડિસાઈડ કરેલું છે, તે જ આપણે પોતે ભોગવીએ છીએ આ. પ્રશ્નકર્તા : હવે આ પાના રમે ને રાજી થાય પણ એમના વાઇફને સારું ના લાગે. દાદાશ્રી : સારું ના લાગે તો એ જ ભોગવે. જે ભોગવે એની ભૂલ. જો ના ભોગવતા હોય તો કશી એમની ભૂલ નથી. જો એ ભોગવતા હોય તો એમની જ ભૂલ છે. પ્રશ્નકર્તા : વાઇફ કહે છે, હું ભોગવતી જ નથી. ત્યારે ધણીને લાગે છે કે એ ભોગવે છે. દાદાશ્રી : પણ એ પોતે કહે છે કે હું નથી ભોગવતી એટલે પછી થયું, છૂટ્યું ! આ જ્ઞાન પહેલાં ભોગવતા હશે ! પછી તો સમજેને ! કારણ કે કોઈ ને કોઈ આદત હોય. તે કંઈ એને ને આપણને લેવા-દેવા નથી. એ તો માલ ભરીને આવેલા છે. પોતાને છોડવું હોય તોય ના છૂટે. એ આદત એને ના છોડે પછી ! હવે એને આપણે વઢીએ તો આપણી ભૂલ છે. એના પર ખોટું (પા.૨૨)લગાડીએ તોય ભૂલ છે. કારણ કે એ આદત એને છોડતી નથી. પ્રશ્નકર્તા : પણ દાદા, એનો કંઈક રસ્તો તો હોય કે નહીં ? એ આદત છોડવા માટે કંઈક રસ્તો તો હોવો જોઈએને ? દાદાશ્રી : રસ્તો એનો એક જ કે આ ભઈ પાનાં રમતાં હોય તો એમને નિરંતર મહીં રહેવું જોઈએ કે આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે. નિરંતર આમ રહેવું જોઈએ. અને આવું રોજ ખોટી વસ્તુ બોલીએ અને એક દહાડો કોઈ આવીને ટસલે ચઢાવે કે ‘આ પાના રમવા બહુ ખરાબ વસ્તુ છે’. ત્યાં તમે કહો કે ‘ના, સારી વસ્તુ છે’ કે પાછું બગડ્યું. તે ઘડીએ તમારે એમ કહી દેવું કે ખોટી વસ્તુ જ છે. પણ ટસલે ચઢાવેને, એટલે જીવતું રાખે છે આ લોકો ! એટલે લોકો કહે છે, ‘અમારી આદતો કેમ છૂટતી નથી ?’ પણ જીવતું શું કરવા રાખો છો ? ફરી પાણી નહીં પાવાનું તે દહાડે. લોક તો ઊંધું બોલે. તમને સમજાયુંને ? એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને છે. દાદાશ્રી : એટલે તેથી જીવતું રહ્યું છે. મને હઉ એવું થયેલું એટલે પછી મેં શોધખોળ કરેલી. એટલે આ બધી વસ્તુ હોય છતાં અંદર એને માટે જુદું. હુક્કો પીતો હતો તોય અંદર જુદું, ચા પીતો હતો તોય અંદર જુદું. પરવશ કરનારી વસ્તુઓ આપણને ના હોવી જોઈએ. છતાં પરવશ થઈ ગયાં તો હવે કેમ છૂટવું તેનો ઉપાય આપણે જાણવો જોઈએ. ઉપાય જાણ્યો ત્યારથી છૂટા જ છીએ. એટલે થોડા વખતમાં છોડી દેવાનું જ છે, આ છૂટી જ જવાનું છે. એની મેળે છૂટી જાય એનું નામ છૂટ્યું કહેવાય. અહંકારે કરીને છોડીએ એ કાચું રહે તો આવતા ભવમાં પાછું ફરી આવે. એનાં કરતાં સમજણથી છોડવા જેવું છે. એટલે જેને જે વસ્તુ હોય, તે આમ પાના રમીએ સારી રીતે ફર્સ્ટક્લાસ, પણ મનમાં મહીં આમ હોવું જોઈએ કે આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ. પછી હજાર માણસની રૂબરૂ, આપણે ઉપદેશ આપતા હોય તે ઘડીએ (પા.૨૩)કોઈક આવીને કહે, ‘હવે શું, પાના છૂટતાં નથીને, અમથાં એ કર્યા કરો છો ?!’ ત્યારે કહે, ‘પાનાનો વાંધો નથી.’ એવું ના બોલાય. ત્યાં કહી દેવું કે, ‘ભઈ, અમારી નબળાઈ છે, આ પાના રમું છું તે બસ !’ પ્રશ્નકર્તા : હજાર માણસની વચ્ચે ભૂલનો એકરાર કરવો જોઈએ ? દાદાશ્રી : બસ, એકરાર કરવો જોઈએ, તો પાનાં ચઢી નહીં બેસે. નહીં તો તમે એમ કહો કે એનો કશો વાંધો નહીં, તો પાનાએ જાણ્યું કે, ‘આ બબુચક માણસ છે, અહીં જ રહેવા જેવું છે.’ પાના પોતે જ સમજી જાય. આ પોલું ઘર છે. એટલે આપણે એકરાર, ગમે તે ટાઈમે ! આબરૂ જાય ત્યાં પણ આબરૂ નહીં, નાકકટ્ટી થાય તોય એકરાર કરી લેવો. એકરાર કરવામાં પૂરા રહેવું જોઈએ. મન વશ કરવું હોય તો એકરારથી થાય. એકરાર કરોને, દરેક બાબતમાં પોતાની નબળાઈ ખુલ્લી કરી દે તો મન વશ થઈ જાય. નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય. મન કહેશે, ‘ફાવતું ઘર છે આ !’ આલોચના જ્ઞાની પાસેઅને દોષ અમને કહે ને એની સાથે જ છૂટી જાય અને અમારે કંઈ એની જરૂર નથી. તમારે છૂટવાનો રસ્તો છે એક આ. કારણ કે વીતરાગો સિવાય દોષ કોઈ જગ્યાએ કહેવાય જ નહીં. કારણ કે જગત આખું દોષિત જ છે. અમને તો આમાં નવીનતા યે ના લાગે કે આ ભારે છે કે આ હલકો છે. એવું બોલેય નહીં અમારી પાસે તોય અમને તો એક જાતનું જ લાગે છે. ભૂલ તો થાય માણસ માત્રની, એમાં ગભરાવાનું શું ? ભૂલ ભાંગનારા છે ત્યાં કહીએ, મારી આવી ભૂલ થાય છે. તો એ રસ્તો બતાવે. તેમ તેમ ખીલતી જાય સૂઝ...ભૂલ ભાંગશે તો કામ થશે. ભૂલ ભાંગશે શેનાથી ? ત્યારે કહે મહીં સૂઝ નામની શક્તિ છે. બહુ ગૂંચાય ત્યારે સૂઝ પડે કે ના પડે ? પછી આમ નિરાંતે બેસી રહે પછી મહીં સૂઝ પડે કે નથી પડતી ? (પા.૨૪)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે કોણ આપવા આવે છે ? સૂઝ તો એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય એવી છે. જીવ માત્રને સૂઝ નામની શક્તિ હોય છે. ગાયો ગૂંચાય ને થોડીવાર ઊભી રહે, ચોગરદમ નીકળવાનો રસ્તો ના હોય તો થોડીકવાર ઊભી રહે ત્યારે મહીં સૂઝ સમજાય ને ત્યાર પછી નીકળી જાય. એ સૂઝ નામની શક્તિ છે, એ ખીલે શાનાથી ? ત્યારે કહે, જેટલી ભૂલ ભાંગે તેમ તેમ સૂઝ ખીલતી જાય. અને ભૂલ કબૂલ કરી કે ભઈ, આ ભૂલ મારી થયેલી છે બા. ત્યારથી શક્તિ બહુ વધતી જાય. હતી જ નહીં તે જાય ક્યાંથી ?આ ક્રોધ કર્યો છે તે ખોટું કર્યું છે, એવી સમજણ પડે કે ના પડે ? હવે સમજણ પડી હોય કે સાલું આ વધારે પડતું છે. એટલે પોતાની ભૂલ સમજણ પડી છે. ત્યાર પછી શેઠ આવ્યા બહારથી અને એમણે કહ્યું કે ‘મહારાજ, આ શિષ્ય જોડે આટલું બધું થાય ? પાછો ત્યાં આગળ નવી જાતનું કહે, ‘ક્રોધ કરવા જેવો છે. તે બહુ વાંકો છે.’ અલ્યા, તને પોતાને સમજણ પડેલી છે કે આ ભૂલ થયેલી છે ને પાછું આ ઉપરાણું લઉ છું ? કઈ જાતનો ઘનચક્કર છું ? આપણે શેઠને ત્યાં શું કહેવું જોઈએ કે, ‘મને ભૂલ સમજાઈ છે. હું હવે ફરી આવું નહીં કરું.’ તો એ ભૂલ ભાંગે. નહીં તો આપણે ભૂલનું ઉપરાણું લઈએ, શેઠ આવે ત્યારે. તે શાના હારુ ? શેઠની આગળ આબરૂ રાખવા. અલ્યા, આ શેઠ આબરૂ વગરનો છે. આ લૂગડાંને લીધે લોકોની આબરૂ છે. બાકી લોકોની આબરૂ જ ક્યાં છે ? આ બધે દેખાય છે ? દસના કર્યા એકઆ જગત ‘રિલેટિવ’ છે, વ્યવહારિક છે. આપણાથી સામાને અક્ષરેય ના બોલાય અને જો ‘પરમ વિનય’માં હોય તો ખોડેય ના કઢાય, આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ખોડ કાઢવાથી શો દોષ બેસશે તેની ખોડ (પા.૨૫)કાઢનારને ખબર નથી. કોઈનીય ટીકા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે. ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે. જેમાં કશું જ વળે નહીં. તે મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણને જો દેખાયું કે આ તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવી ? ‘ટાઈમ એન્ડ એનર્જી’ (સમય અને શક્તિ) બંને ‘વેસ્ટ’ (નકામા) જાય છે. આ તો ટીકા કરીને સામાનો મેલ ધોઈ આપ્યો ને તારું પોતાનું કપડું મેલું કર્યું ! તે હવે ક્યારે ધોઈશ ! કોઈનાય અવગુણ ના જોવાય. જોવા હોય તો પોતાના જુઓને ! આ તો બીજાની ભૂલો જોઈએ તો મગજ કેવું થઈ જાય છે ! એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવું ખુશ થઈ જાય છે ! બધા દુઃખોનું મૂળ ‘પોતે’ જસામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને આજ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાંના દોષો જ જોવાની ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમને દાળભાત, શાક-રોટલી બધું બનાવીને, રસ-રોટલી બનાવીને આપે બધાં, પીરસે, પાછાં ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબરેય ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય, તો ઘઉં વેણે શું કરવા ? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી. દુઃખ તમારું મહીંથી જ આવે છે. સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને ? આ તો બધા અન્યોન્ય દોષ દે કે ‘તમે આવા છો, તમે તેવાં છો’ ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ મહીં વેર બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી રહી છે. તેથી તો અમે કહ્યું કે ‘સમભાવે નિકાલ (પા.૨૬)કરજો.’ એનાથી વેર બંધ થાય. ન કોઈ દોષિત જગતમાંએક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા, પછી એને તો કોઈ શું કરે ? ભગવાન શું કરે ? આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલાં છે. આ આપણાં ઘરે ભેગા કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે તે જ બધા ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તોય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગલા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર. બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ? પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને ! દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો, હું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં. અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે. મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ (પા.૨૭)ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે, તેને સહેજેય ફ્રેક્ચર નહીં થવા દે. ત્યારથી થયું સમકિતપોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે. નહીં તો બધું ઊંઘમાં જ ચાલે છે. દોષ ખલાસ થયા કે ના થયા, તેની બહુ ચિંતા કરવા જેવી નથી પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જોવાના કે કેવી રીતે દોષો થાય છે ! જેટલાં દોષો દેખાય તેટલાં વિદાયગીરી લેવા માંડે. જે તે ચીકણા હોય તે બે દહાડા, ત્રણ દહાડા, પાંચ દહાડા, મહિને કે વર્ષે પણ એ દેખાય એટલે ચાલવા જ માંડે, અરે, ભાગવા જ માંડે. ઘરમાં જો ચોર પેઠો હોય તો તે ક્યાં સુધી બેસી રહે ? માલિક જાણતો ન હોય ત્યાં સુધી. માલિક જો જાણે તો તરત જ ચોર નાસવા માંડે. અંતે તો એ પ્રાકૃત ગુણોપ્રશ્નકર્તા : દાદા, આપણે દોષ નહીં જોવાના ને ગુણો જોવાના ? દાદાશ્રી : ના. દોષોય નહીં જોવાના ને ગુણોય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે. તે એકેય ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને એ ત્રણેમાં મેલ થાય તો સનેપાત થાય ! આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે. છતાં, આમ પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઈએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડ્યાં તો તે બધાંને માર માર કરે. આ તો પ્રકૃતિનાં લક્ષણ કહેવાય. આવાં ગુણોથી (પા.૨૮)પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેનાથી કોઈક અવતારમાં ‘જ્ઞાની પુરુષ’ મળી આવે, તો કામ થાય. પણ આવાં ગુણોમાં બેસી રહેવું નહીં. કારણ કે ક્યારે એમાં ફેરફાર થઈ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી. આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડાં કહીએ છીએ. આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડાં છાપ છે. આ તો સામાયિક-પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે ને કહે છે કે ‘મેં કર્યું !’ તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે, ‘આ તો તું કાંઈ જ કરતો નથી.’ આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો કહે, ‘હું શું કરું ?’ પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે ‘મેં કર્યું !’ અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય ? સાધુ મહારાજોની એક ભૂલ, કે જે ઉદયકર્મનો ગર્વ લે છે. એ જો ભૂલ થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઈ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય. એમને બીજાં કષાયો હશે તો ચાલશે પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઈએ. બસ, આટલું જ જોવાનું હોય. દરેક જીવ અનંત દોષનું ભાજન છે. કૃપાળુદેવે કહ્યું, ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ’ એવું બોલજે. મોટામાં મોટો દોષભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ‘તારા સ્વરૂપનું અજ્ઞાન’ એ જ મોટામાં મોટો દોષ છે. આ તો ‘હું ચંદુભાઈ છું’ ત્યાં સુધી બીજા દોષોય ઊભા છે અને એક વખત ‘પોતાના સ્વરૂપ’નું ભાન થાય તો પછી બીજાં દોષો હેંડતા થાય ! આ તો પોતાની એક ભૂલ દેખાતી નથી. આપણે કહીએ, ‘શેઠ, તમારામાં કંઈક દોષ તો ખરોને ?’ ત્યારે કહે, ‘હા, થોડોક સહેજ ક્રોધ છે અને સહેજ લોભ છે. બીજું કાંઈ દોષ નથી.’ આ તું ત્યાં અનંત બોલે છે ને અહીં પાછો...’ ‘બે’ જ છે એવું મોઢે બોલે છે ! આપણે પૂછીએ ત્યારે એ જાણે કે (પા.૨૯)આબરૂ જતી રહેશે. અલ્યા, આબરૂ હતી જ ક્યાં તે ? આબરૂદાર તો કોનું નામ કે મનુષ્યમાંથી ફરી ચારપગો ના થાય, એનું નામ આબરૂદાર ! અલ્યા, આટલો બધો પાકો માણસ તું. ભગવાન પાસે ‘હું અનંત દોષનું ભાજન છું’ એમ બોલે અને અહીં બહાર બે જ ભૂલ છે એમ બોલે ! આપણે કહીએ, ‘ભગવાન પાસે બોલતો હતોને ?’ ત્યારે કહે, ‘એ તો ત્યાં બોલવાનું હોય, અહીં નહીં.’ એનાં કરતાં તો તડબૂચાં સારાં, એનામાં એટલા દોષ ના હોય ! અલ્યા, ભગવાન પાસે જુદું બોલે છે અને અહીં જુદું બોલે છે ? હજુ તો કેટલા ચક્કર ફરીશ તું ? જરા ક્રોધ ખરો ને જરા લોભ ખરો, બે ભૂલનો માલિક ! ભગવાન અહીં ફરતા હતાને, તે એમની પાસે પાંચ લાખ ભૂલો હતી ને આ બે ભૂલનો માલિક ! ભગવાન દેહધારી હતાને ત્યાં સુધી બે-પાંચ લાખ ભૂલો પડી રહેતી હતી ને આ ભૂલ વગરનો (!) એ જો પોતાના દોષ દેખાય નહીં, તો કોઈ દિ’ તરવાની વાત કરવી નહીં, એવી આશા યે રાખવી નહીં. મનુષ્ય માત્ર અનંત ભૂલનું ભાજન છે અને જો એને પોતાની ભૂલ નથી દેખાતી તો એટલું જ છે કે એને ભયંકર આવરણ વર્તે છે. આ તો ભૂલ દેખાતી જ નથી. હવે ભૂલો દેખાય છે થોડી ઘણી ? ભૂલો દેખાય છે કે નથી દેખાતી ? પ્રશ્નકર્તા : હવે દેખાય છે. દાદાશ્રી : ભૂલનો સ્વભાવ કેવો છે કે દેખાય એ જતી રહે ને પાછી બીજે દહાડે પાછી આટલી જ આવે. નર્યો ભૂલોનો જ ભંડાર છે ! આ તો ભંડાર જ ભૂલનો છે. પછી વઢી પડે છે ને તે વઢ્યા પછી નિકાલ કરતાંય નથી આવડતો. અલ્યા, વઢી પડે છે ? તે વઢ્યાને હવે એનો નિકાલ તો કર ! જેમ થાળી આપણે બગાડી હોય તો ધોતાં ના આવડે પછી ? પણ આ તો વઢી પડ્યો પછી એનો નિકાલ કરતાંય ના આવડે. પછી મોઢું ચઢાવીને ફર્યા કરે ! મેરચક્કર, મોઢું શું કરવા ચઢાવે છે તે ? (પા.૩૦)નર્યો ભૂલનો ભંડાર એટલે જીવડું થઈ જાયને પછી ? નહીં તો પોતે શિવ છે. જીવ-શિવનો ભેદ કેમ લાગે છે ? આ તો ભૂલને લઈને છે. આ ભૂલ ભાંગે તો ઉકેલ આવે. દીઠા નહીં નિજદોષ તો...પહેલું વાક્ય કહે છે કે ‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.’ અને છેલ્લું એક વાક્ય કહે છે કે ‘દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય !’ ‘અનંત દોષનું ભાજન છું’ એવું મનેય સમજાય છે પણ દેખાતો એકુંય નથી. માટે તરવાનો ઉપાય છે કંઈ ? કેમ દેખાતો નથી ? પોતાના દોષ ક્યારે દેખાય ? કે જગતને જેમ જેમ નિર્દોષ જોતો જાય, તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગતના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષરેય દોષ જડે નહીં. જગતના દોષ કાઢે ખરું કોઈ ? પારકાંના દોષ કાઢવામાં હોશિયાર હોય છે બહુ ? એક્સ્પર્ટ હોય છે, નહીં ? ન જોવાય દોષ કોઈનાપ્રશ્નકર્તા : મને સામા માણસના ગુણો કરતાં દોષો વધારે દેખાય છે એનું શું કારણ ? દાદાશ્રી : આખા જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે. દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ ખોળી કાઢે તરત ! અને દોષ જડેય ખરાં અને પોતાના દોષ જડે નહીં ને ? પ્રશ્નકર્તા : સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય ? દાદાશ્રી : એવો કોઈ કાયદો નથી, છતાં એવાં દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે ? પોતાના દોષો ઢાંક ઢાંક કરે ને બીજાનાં જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ. એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ. (પા.૩૧)પ્રશ્નકર્તા : બીજાની ભૂલ જ માણસ શોધે છે ને ? દાદાશ્રી : ભૂલ કોઈની જોવાય નહીં. કોઈની ભૂલ જોશો એ ભયંકર ગુનો છે. તું શું ન્યાયાધીશ ? તને શું સમજણ પડે કે તું ભૂલ જોઉં છું ? મોટા ભૂલના જોવાવાળા આવ્યા ? ભૂલ જોઉં છું, તો પછી તું ભાન વગરનો છું. બેભાન છું. ભૂલ હોતી હશે ? બીજાની ભૂલ તો જોવાતી હશે ? ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી. બીજાની શું કરવા ખોળો છો ? ભૂલ તમારી પોતાની જોવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી. અને એવી જો ભૂલો જોવામાં આવે, આ પેલાની ભૂલ જુએ, પેલો પેલાની ભૂલ જુએ, તો શું થાય ? કોઈની ભૂલ જ ના જોવાની હોય. છેય નહીં ભૂલ. જે ભૂલ કાઢેને તે બિલકુલ નાલાયક હોય છે. સામાની સહેજ પણ ભૂલ થાય છે એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે. એની પાછળ ખરાબ આશયો હોય છે. હા, ભૂલ ક્યાંથી લાવ્યા ? પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. એમાં ભૂલ ક્યાં આવી ? આ ન્યાયાધીશનું ડીપાર્ટમેન્ટ છે ? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હુંય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને ! પ્રશ્નકર્તા : એ જ ભૂલી જાય છે કે આ સામો માણસ કર્તા નથી. દાદાશ્રી : હા, એ એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યાંથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં. માણસ ગૂંચવાયેલો રહે. અમને તો ક્ષણવાર પણ કોઈની ભૂલ દેખાઈ નથી અને દેખાય તો અમે મોંઢે કહી દઈએ. ઢાંકવાનું નહીં કે ભઈ, આવી ભૂલ અમને દેખાય છે. તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે. પ્રશ્નકર્તા : એ તો એના કલ્યાણ માટે આમ કહો છો. દાદાશ્રી : એ કહીએ ચેતવવા માટે તો ઉકેલ આવે ને ! અને પછી (પા.૩૨)એ ના માને તોય અમને બિલકુલ વાંધો નથી. અમે કહીએ, આ કરજો અને ના માને તો કંઈ નહીં. પ્રશ્નકર્તા : આપને કશુંય નહીં ? દાદાશ્રી : હું જાણું કે એ શેના આધારે બોલે છે ! ઉદયકર્મના આધારે બોલે છે. કંઈ ઓછું મારી આજ્ઞા રોકવાની ઇચ્છા છે ? ઇચ્છા જ ના હોય ને ? એટલે એમને ગુનો ના લાગે. આ ઉદયકર્મના આધારે બોલે તો એ વાળવું પડે અમારે. જો પ્રકૃતિ વીફરે ત્યાં અમારે છે તે પરહેજ કરી દેવી પડે. પોતાનું અહિત તો સંપૂર્ણ કરે, બીજા બધાનું કરી નાખે. બાકી, સરળ પ્રકૃતિ ભૂલો કરતી હોય, કર્યા જ કરે. એ તો દુનિયામાં બધી પ્રકૃતિઓ જ છે. તને તારી ભૂલો પૂરેપૂરી દેખાય છે ? પ્રશ્નકર્તા : હા, ભૂલો તો દેખાય છે. દાદાશ્રી : એકુંય ભૂલ દેખાતી નથી તને. અને જેટલા વાળ છે એના કરતાં વધારે ભૂલો છે. એ શી રીતે સમજણ પડે તને ? પ્રશ્નકર્તા : એ ભૂલ ખાવી અથવા ન ખાવી એ કર્માધીન છે ને ? દાદાશ્રી : ઓહોહો ! એ સારી શોધખોળ કરી ! જુઓને બાબા જ છેને, બધાં આવડાં આવડાં બાબા ! બેભાનપણું ! જુઓને, હજુ ભૂલ ખાવી કે ના ખાવી એ કર્માધીન છે કે કેમ હજુ તો આવું બોલે છે ! કૂવામાં કંઈ પડતો નથી. ત્યાં સાચવીને ચાલે છે. સમય આવે તો દોડે, ત્યાં કેમ કર્માધીનપણું બોલતો નથી ? ટ્રેઈન આવે તે ઘડીએ પાટા ઓળંગી જાય કે નહીં ? ત્યાં કેમ કર્માધીન બોલતો નથી. પોતાના દોષ પોતાને શી રીતે દેખાય ? દેખાય જ નહીં ને ! કારણ કે જ્યાં મોહનું સામ્રાજ્ય હોય, મોહથી ભરેલાં ! હું ફલાણો છું, હું આમ છું, એનો મોહ પાછો ! પોતાના પદનો મોહ હોય ખરો કે ? ના હોય ? પ્રશ્નકર્તા : ઘણો હોય ! (પા.૩૩)દાદાશ્રી : આ જ છે. બીજું કશું નથી. નિંદા કરવા જેવું નથી પણ બધે આવું જ છે. ત્યારે આવ્યો મહાવીરના માર્ગમાંદોષ જ્યારથી દેખાવાના થાયને, ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમ દહાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાયો છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. ‘દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી.’ એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે પણ જે કહે કે, મારામાં બે-ચાર જ દેખાય છે, તે અનંત દોષથી ભરેલો છે, ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ? મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો-સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. ‘સ્વરૂપનું જ્ઞાન’ તો હજી એની પછી ક્યાંય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને ‘સ્વરૂપ’ પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ના કહેવાય. જ્યાં ‘જ્ઞાન’ અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે ! ન દીઠા પોતાનાં જ દોષોપોતાના દોષ દેખાય છે તમને ? પ્રશ્નકર્તા : એ જ પોતાના દોષ ગોતવાની જ જરૂર છે આપણે. દાદાશ્રી : હા, તે શાથી નથી દેખાતા એ ? (પા.૩૪)પ્રશ્નકર્તા : આપણે સંસારમાં અટવાયેલા પડ્યા છીએ, એટલે રોજીંદા કાર્યમાં પરોવાઈ ગયેલા છીએ માટે દેખાતા નથી. દાદાશ્રી : ના, દેખાવામાં કંઈક ભૂલ થઈ રહી છે. પોતે જજ છે, આરોપીય પોતે છે. ગુનો કરનારેય પોતે છે પણ જોડે વકીલ ઊભો કર્યો છે, પોતે જ વકીલ થાય છે પાછો. પ્રશ્નકર્તા : એટલે પોતાનો ખોટી રીતે બચાવ જ કરે. દાદાશ્રી : હા, બધો બચાવ કર્યો છે. હા, બસ, બીજું કશું કર્યું નથી. ખોટી રીતે બધા બચાવ કર્યા. જગત ઊઘાડી આંખે ઊંઘે છે. એટલે પછી દોષ શી રીતે માલમ પડે ? તારાં દોષ તને દેખાતા નથી. શી રીતે માણસ દોષ દેખી શકે પોતાના ? પ્રશ્નકર્તા : સ્થૂળ થોડા દેખાય, સૂક્ષ્મ ના દેખાય. દાદાશ્રી : દોષ કેમ નથી દેખાતા ? ત્યારે કહે છે, ‘મહીં આત્મા નથી ?’ ત્યારે કહે, આત્મા છે, એટલે કે જજ છે, જજ ! અહંકાર આરોપી છે. અહંકાર ને જજ(આત્મા) બે જ જણ હોયને, તો બધા દોષ દેખાય, ઘણાં ખરાં દોષ દેખાય પણ આ તો મહીં વકીલ (બુદ્ધિ) રાખ્યો છે એટલે વકીલ કહે કે, ‘આ બધાંય એવું જ કરે છે ને !’ આખો દોષ ઊડી ગયો. તમે જાણો છો વકીલ રાખે છે એવું ? વકીલ રાખે બધાંય. પોતે જજ, પોતે આરોપી ને પોતે જ વકીલ. બોલો, કલ્યાણ થાય ખરું ? પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : આમ તેમ કરીને વકીલ પાછો પતાવી આપે. થાય કે ના થાય એવું ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : આખો દહાડો આનું આ જ તોફાન અને તેનાં દુઃખો છે આ (પા.૩૫)બધાં. બોલો, હવે કેટલી પોતાની ભૂલો બહાર નીકળે ? પોતાની કેટલી ભૂલોનું સ્ટેટમેન્ટ (લખાણ) આપી દે ? પ્રશ્નકર્તા : પછી એ સ્ટેટમેન્ટ શું આપે ? દાદાશ્રી : આ માથાના વાળ છેને, એટલી ભૂલો છે. પણ પોતે જજ ને પોતે વકીલ ને પોતે આરોપી, શી રીતે ભૂલો જડે ? નિષ્પક્ષપાતી વાતાવરણ ઉત્પન્ન ના થાય ને ! નિષ્પક્ષપાતી વાતાવરણ ઉત્પન્ન થાય તો મોક્ષ સરળ છે. મોક્ષ કંઈ છેટો નથી. આ તો પક્ષપાત બહુ છે. અને બીજાની ભૂલો કાઢવી હોય તો કાઢી આપે, એને માટે ન્યાયાધીશ છે એ, થોડોઘણો, અલ્પઅંશે, પણ પોતાની ભૂલો કાઢવા માટે જરાય ન્યાયાધીશ નથી. એટલે પોતે જજ, પોતે જ વકીલ અને આરોપી પોતે એટલે કેવું જજમેન્ટ આવે ? પોતાના લાભમાં જ હોય. પ્રશ્નકર્તા : સગવડિયું, બસ ! પોતાને જેવી સગવડ હોય ને એવું લાવીને ગોઠવી દે ! દાદાશ્રી : એટલે પછી સંસાર છૂટે નહીંને કોઈ દહાડોય ! આમ તમે સગવડિયું કર્યા કરો અને નિર્દોષ થવું છે, બને નહીંને ! વકીલ ના હોય તો જ પોતાની ભૂલો માલમ પડે. પણ આજના લોકો વકીલ રાખ્યા વગર રહે નહીંને ! વકીલ રાખે કે ના રાખે લોક ? આ જ્ઞાન આપ્યા પછી તરત જ ખબર પડે કે આ ભૂલ થઈ. કારણ કે વચ્ચે વકીલ નથી હવે. વકીલ ઘેર ગયા, રિટાયર્ડ થઈ ગયા. ગુનેગાર તો હજુ રહ્યા છે પણ વકીલ ના રહ્યા. આ ભૂલો જાયને તો પોતાનું ભગવાનપદ પ્રાપ્ત થાય એવું છે. આ ભૂલોને લઈને જીવપદ છે અને ભૂલો જાય તો શિવપદ પ્રાપ્ત થાય. આ જગતનાં લોકોએ પોતાના દોષ જોયા નથી, એટલે જ એ દોષો રહે છે, મુકામ કરે છે નિરાંતે ! આમ તો એ કહેશે કે મારે દોષ કાઢવા છે, પણ (પા.૩૬)ત્યારે દોષો છે તે એક બાજુ પાયા ચણાવીને મહીં રહેવાનું મકાન કરતા હોય. પાયા સિમેન્ટ નાખીને કરતાં હોય. એ દોષો જાણે કે આ મૂઓ કશું કરવાનો નથી. મોઢે બોલે છે એટલું જ, શી રીતે દોષ કાઢવાનો ? જે એક દોષ કાઢી શકે, તે ભગવાન થાય !!! એક જ દોષ ! એક દોષનું નિવારણ કરે એ ભગવાન થાય. આ તો દોષનું નિવારણ થાય છે પણ બીજાનો દોષ પાડીને ! બીજાની હયાતી લાવીને પેલાનું નિવારણ કરે. બાકી પોતાની એક ભૂલ ભાંગે તો ભગવાન થાય. પ્રશ્નકર્તા : બીજો દોષ પાડે નહીં, એ કેવી રીતે બને ? દાદાશ્રી : આ તો બધી ભૂલો જ છે, પણ એક ભૂલ ભાંગે તે ક્યારે ? સમકિત થયા પછી ભાંગે, નહીં તો ભાંગે નહીં, ત્યાં સુધી એક ભૂલ ભાંગે નહીં. ત્યાં સુધી તો પહેલા ખોદે ને પછી પાછો પૂરે. ખોદે ને પૂરે, ખોદે ને પૂરે. કશી ક્રિયા એની કામ લાગે નહીં. બધી ક્રિયા નિષ્ફળ જાય છે ! એને કહેવાય જૈનતમારામાં બે-ચાર દોષ હશે કે નહીં હોય ? પ્રશ્નકર્તા : વધારે. દાદાશ્રી : દસ-પંદર દોષો હશે ? પ્રશ્નકર્તા : એ ગણ્યા ગણાય નહીં. દાદાશ્રી : હા. એનું નામ જૈન કહેવાય. જૈન કોનું નામ કહેવાય કે પોતાનામાં અહંકાર છે, દોષ છે, એવી પોતાને એમ ખાત્રી છે. ભલે દોષ ન દેખાય, પણ એ છે એવી જેને શ્રદ્ધા છે એને જૈન કહેવાય. પોતે અનંત દોષનું ભાજન છે. પણ હવે ક્યારે એ ખાલી કરી રહેશો ? પ્રશ્નકર્તા : એ તો આપની કૃપા થશે ત્યારે. દાદાશ્રી : બહુ મોટી વાત કરી ! (પા.૩૭)દોષો એટલાં જ ખપે પ્રતિક્રમણઅનંત દોષનું ભાજન છે ત્યારે એટલાં જ પ્રતિક્રમણ કરવાં પડશે. જેટલાં દોષ ભરી લાવ્યા છે, તે તમને દેખાશે. જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી દોષો દેખાય, નહીં તો પોતાના દોષ પોતાને દેખાય નહીં, એનું નામ જ અજ્ઞાનતા. પોતાના દોષ એકુંય દેખાય નહીં ને કો’કના જોવા હોય તો બધા બહુ જોઈ આપે, એનું નામ મિથ્યાત્વ. અને જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી, દિવ્યચક્ષુ આપ્યા પછી પોતાને પોતાના સર્વ દોષ દેખાય. સહેજ મનફેર થયું હોય તોય ખબર પડી જાય કે આ દોષ થયો. આ તો વીતરાગ માર્ગ એક અવતારી માર્ગ છે. આ તો બહુ જવાબદારીવાળો માર્ગ છે. એક અવતારમાં બધું ચોખ્ખું જ થઈ જવું જોઈએ. અહીં પહેલું ચોખ્ખું થઈ જવું જોઈએ. એટલે નર્યા દોષનું ભંડાર છો. અહીં જ્ઞાનવિધિમાં આવશો તો હું બધા પાપ ધોઈ નાખીશ. એ ધોવાનું મારે ભાગ આવ્યું. પછી પોતાના દોષ દેખાશે. અને પોતાના દોષ દેખાયા ત્યારથી જાણવું કે હવે મોક્ષે જવાની તૈયારી થઈ. બાકી કોઈનેય પોતાના દોષ દેખાયેલા નહીં. આત્મા પોતે જ થર્મોમીટર સમજે પોતે કરે ને એમાં પોતાને ભૂલ છે એવું ક્યારેય ખબર પડે નહીં. પોતે જે કરતો હોય, સહજ સ્વભાવે જે કાર્ય ક્રિયા કરતો હોયને એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં, ઉલટું કોઈ ભૂલ દેખાડે તોય એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એમાં એને પોતાની ભૂલ ન દેખાય. ભૂલ તો પોતે આત્મસ્વરૂપ થાય, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય, તો આત્મા એકલો જ થર્મોમીટર સમાન છે કે ભૂલ દેખાડે, બાકી કોઈ ભૂલ ના દેખાડે. પોતાની ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો તો કામ જ થઈ ગયું ને ! અને ભૂલ ભાંગે તો પરમાત્મા થાય. પરમાત્મા તો છે જ પણ (પા.૩૮)પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો ! એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી અને લોકોનાં સસરા અને સાસુ થઈને મઝા માણે છે. ભૂલ ભાંગે તો સત્તા પ્રાપ્ત થાય, પરમાત્માની સત્તા પ્રાપ્ત થાય. અને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ‘પોતે પરમાત્મા છે’ એવું લક્ષ બેઠું છે, એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે એ ને તે સત્તા પ્રાપ્ત થયા કરે. બાકી ભૂલ દેખાડે તે સાચું. કેટલી બધી ભૂલો ? એક ભૂલ આપણી જે ભાંગે, આપણી મોટામાં મોટી ભૂલ ભાંગી આપે તે ભગવાન કહેવાય. આ તો પહેલાનો અભ્યાસ હોય કે હું બધામાં ભગવાન જોઉં છું પણ વઢવાડ કરતી વખતે તો ભગવાન બધું ભૂલી જાય ને ઝઘડો કરી બેસે કે દૂધ કેમ ઢોળ્યું ! ઘરનું છોકરું જાતે દૂધ ઢોળે ખરું ? આ તો આદિ-અનાદિથી ચાલી આવેલી, બાપાએ છોકરાને વઢવું જોઈએ એવી રીત છે. આ તે કંઈ માણસાઈ કહેવાય ? માનવતા તો કેવી સુગંધ આપે ? પચ્ચીસ પચ્ચીસ માઈલના એરિયામાં સુગંધ આવે. પોતાની બધી ભૂલ દેખાય તો જાણવું કે ભલીવાર આવશે. એક ભૂલ લોકોને પોતાની દેખાતી નથી. એ છે ભૂલોનું સ્વરૂપઅહંકાર ઓગળી જાય તો તો ભૂલ ખલાસ થઈ જાય. અહંકાર એમ ને એમ ઓગળશે નહીં, એ ચટણીની પેઠ વાટવા જેવો નથી. અહંકાર તો ભૂલો દેખાય એટલો ઓગળે. અહંકાર એટલે ભૂલનું સ્વરૂપ. ઇગોઇઝમ એ સ્ટ્રક્ચર જ ભૂલનું છે. કહેવાય શું કે સ્વરૂપનું ભાન નથી, તે ભાન ભૂલેલાં છે. ભાન ભૂલેલામાં આખો ઇગોઇઝમ ભાન ભૂલેલો છે. ત્યારે મહીં શું સામાન છે એની પાસે, કે મહીં નાની-મોટી ભૂલો છે ! તે ભૂલ ભાંગશે તો કામ થશે. નિષ્પક્ષપાતી થાય તો પોતાની ભૂલ દેખાશે. વાણી તો મહીં બધા શાસ્ત્રોની વાણી પડેલી છે. ભૂલ ભાંગશે ત્યાર પછી વાણી નીકળશે અને તે વાણી પાછી નિષ્પક્ષપાતી હોવી જોઈએ. મુસલમાન બેઠો હોય તેનેય સાંભળવાનું મન થાય. જૈન બેઠો હોય તેનેય સાંભળવાનું મન થાય. બધા સ્ટાન્ડર્ડને સાંભળવાનું મન થાય તે નિષ્પક્ષપાતી વાણી કહેવાય. (પા.૩૯)પોતાના દોષ જોવામાં નિષ્પક્ષપાતી એવા કોણ હોય ? એ તો કૃપાળુદેવ હોય અને એમનાં બે-ત્રણ ફોલોઅર્સ હોયને, તે હોય. બાકી પોતાના દોષ જોવામાં, પક્ષપાતનો સવાલ જ ક્યાં છે ? પોતાના દોષ જોવામાં ખબર જ નથી પડતી. જ્ઞાનીની તત્ત્વદ્રષ્ટિઅમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ જોઈએ ! અમે ‘સત્ વસ્તુ’ને જ જોઈએ. એ તાત્ત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાઇટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્ત્વદ્રષ્ટિથી જોઈએ. ‘અમે’ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ ‘જ્ઞાની પુરુષ’ તમારી ‘ભૂલ’ને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં. તરેલો જ તારેઆ બધી ભૂલ તો ખરીને ? એની તપાસેય નથી કરીને ? પ્રશ્નકર્તા : આપણી કંઈક ભૂલ થાય છે એટલું સમજાય છે, પણ એમાંથી નીકળાતું નથી. અને નીકળવાની કોશિશ કરીએ તેમ ઊંડા ને ઊંડા ઊતરતાં જઈએ છીએ. દાદાશ્રી : કોશિશ જ ના કરશો. એ કોશિશ કરવાની, તે અહીં આગળ ખાડો ખોદવાનો છે, ત્યાં આગળ ખાડો પૂરવાનો છે. તેને બદલે ત્યાં ખાડો ખોદીને અહીં પૂરે તે કામનાં કોણ પૈસા આપે ? પ્રશ્નકર્તા : ના આપે. દાદાશ્રી : અને ઉપરથી દંડ થાય કે આ જમીન કેમ ખોદી નાખી ? ઉપરથી કેસ થાય કે તમે અહીં કેમ ખોદી નાખ્યું ? માટે ફરી પૂરી આપો. ને ફરી આની ઉપર પાણી રેડી અને સરખું કરાવી દો. એટલે આ બધા લોક કરે છે ને, તે ઊંધી જગ્યાએ ખોદે છે. એનાં કરતાં ના ખોદતા હોય ને કોઈકને કહેતા હોય કે ભાઈ, કંઈક મારો ઉકેલ લાવી (પા.૪૦)આપો. તે કોઈ ઉકેલ લાવી આપે. જે છૂટેલો હોય તે છોડાવી આપે. પેલો બંધાયેલો માણસ, એ જ ડૂબકાં ખાયા કરતો હોય, ‘બચાવો’ કહેતો હોય, ‘તે મૂઆ, તું બચાવ બચાવ કહે છે, તું શું મને બચાવવાનો છે તે ?’ પ્રશ્નકર્તા : આટલાં વખત તેને શરણે ગયા ઉકેલ લાવવા માટે, ત્યાં પાછાં ડૂબી ગયા, જે ડૉક્ટરની દવા લીધી એણે દર્દ વધાર્યું, ઘટાડ્યું નહીં. દાદાશ્રી : એ ડૉક્ટરો બરાબર ભણેલા નહીં. એ ડૂબકાં ખાતા હતા અને જે ડૉક્ટર એમ કહે, ‘ના, અમે તરેલા છીએ. તું આવ.’ તો આપણે જાણીએ કે એ પોતે કહે છે ને ! બાકી કોઈ કહે નહીં કે તરેલા છીએ. નહીં તો જાણે કોઈક દહાડો કંઈક ભાંજગડ થશે ને લોક જાણી જશે, કે આ ડૂબકાં ખાતી વખતે બૂમ પાડતા હતા. તે માપી જાયને લોકો ? કેમ તર્યા હતા ને ડૂબકાં ખાતી વખતે બૂમ પાડો છો ? કહે કે ના કહે ? એટલે સંજોગ સારાં બાઝયા નહીં. આ ફેર સંજોગ સારો બાઝયો, કામ નીકળી જશે. એટલે આ બધું શી રીતે આમાં પામે ? ઓહોહો ! માથાના વાળ તો ગણી શકાય, પણ આ એમની ભૂલ ના ગણી શકાય. જો રોજ પચ્ચીસ જેટલી ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી, ખાવા-પીવાનું નડતું નથી. નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યાં. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે. મહીં તો પાર વગરની ભૂલો છે. પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે. કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ ના કહે, આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે. એ તો પોષાય જ નહીં. કારણ કે નિયાણું મોક્ષનું કરેલું, તેય નિયાણું પૂરેપૂરું નહીં કરેલું. તેથી તો આવું થયું ને ! દાદા પાસે આવવું પડ્યું ને ? ત્યારે ભૂલ ભાંગી કહેવાયએક-એક અવતારે એક ભૂલ ભાંગી હોત તોય મોક્ષ સ્વરૂપ થઈ જાત. (પા.૪૧)પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નથી, પાંચ ભૂલ વધારી આવે છે. આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઈ ઉપરી જ નથી. પણ ભૂલ બતાવનાર જોઈએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તેય એકાદ-બે જ છે કંઈ ? અનંત ભૂલો છે ! કાયાની અનંતી ભૂલો તો બહુ મોટી દેખાય. કોઈને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તોય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, આ બોલે તો કર્કશ વાણી નીકળે અને મનના તો પાર વગરનાં દુષણો હોય ! ભૂલ કાઢે, મહીં કોણ ?આપણી ભૂલો તો કોણ ભાંગી શકે ? ‘જ્ઞાની પુરુષ’, કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે. જે શરીર છતાંય અ-શરીર ભાવે, વીતરાગ ભાવે રહે છે. અશરીર ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફુલ ઊગે, તે અશરીર ભાવ. જેને કિંચિત્માત્ર-સહેજ પણ દેહ પર મમતા છે, તો એ અ-શરીર ભાવ કહેવાય નહીં ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી મમતા જાય નહીં. આ જગતમાં બધું જ જડે પણ પોતાની ભૂલ ના જડે. માટે જ પોતાની ભૂલો દેખાડવા જ્ઞાનીની જરૂર છે. જ્ઞાની પુરુષ જ એવા સર્વ સત્તાધારી છે કે જે પોતાને પોતાની ભૂલ દેખાડી તેનું ભાન કરાવી આપે ને ત્યારે ભૂલ ભાંગે. એ ક્યારે બને ? જ્યારે જ્ઞાની પુરુષનો ભેટો થાય અને પોતાને નિષ્પક્ષપાતી બનાવે. પોતાની જાત પ્રત્યે પણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ કામ સરે. સ્વરૂપનું ભાન જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના કરાવી આપે ત્યાં સુધી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન ના થાય. ‘જ્ઞાન’ કોઈનીય ભૂલ ના કાઢે. બુદ્ધિ સર્વની ભૂલ કાઢે, સગા ભાઈની ભૂલ કાઢે. આ તો ‘જ્ઞાની પુરુષ’ છે, તો પોતાને દોષની ખબર પડે. નહીં તો એને પોતાને ખબર જ શું પડે ? ચાલી સ્ટીમર કોચીન ભણી. હોકાયંત્ર બગડી ગયું (પા.૪૨)છે, એટલે કોચીન ચાલી ! દક્ષિણને જ એ હોકાયંત્ર ઉત્તર દેખાડે ! નહીં તો હોકાયંત્ર હંમેશા ઉત્તરમાં જ લઈ જાય, એનો સ્વભાવ ! હોકાયંત્ર બગડી જાય પછી ‘ક્યા કરે’ ? અને પોતાને ધ્રુવનો તારો જોતાં આવડતો નથી. મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વચ્છંદ એ જ મોટી ભૂલ. તે સહેજ એમ કહ્યું કે એમાં શું થયું ? એટલે થઈ રહ્યું. એ પછી અનંત અવતાર બગાડે. બધું પોતાના દોષથી બંધાયેલું છે. માત્ર પોતાના દોષ જો જો કરવાથી છૂટું થવાય તેમ છે. આ અમે અમારા દોષ જો જો કર્યા તે અમે છૂટ્યા. નિજદોષ સમજાય એટલે છૂટો પડતો જાય. માટે ‘જ્ઞાની પુરુષ’ તમારી ભૂલને ભાંગી શકે, બીજાનું ગજું નહીં. અમે તરત જ ભૂલ એક્સેપ્ટ કરી, નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એની એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી. નથી એને ઉપરી કોઈપ્રશ્નકર્તા : પણ દાદા, આ પ્રત્યક્ષ પુરુષ સિવાય આ ભૂલ સમજાય નહીં ? દાદાશ્રી : શી રીતે સમજાય, બળ્યું ?! એમની જ ભૂલ ના સમજાય, પછી એ બીજાની ભૂલ શી રીતે કાઢે ? જેને ઉપરીની જરૂર નથી, જેને કોઈ ભૂલ દેખાડનારની જરૂર નથી, તે એકલો જ ભૂલ કાઢી શકે. બાકી બીજો કોઈ ભૂલ કાઢી શકે નહીં. જે પોતે પોતાની તમામ પ્રકારની ભૂલો બધી જ જાણે છે તેને ઉપરીની જરૂર નથી. ઉપરીની ક્યાં સુધી જરૂર હોય છે કે જ્યાં સુધી તમે ભૂલો નહીં જોઈ શકો ને અમુક પ્રકારની ભૂલો તમને રહેતી હોય તો એ તમારે ઉપરી હોય જ. ને ઉપરીપણું ક્યારે છૂટે છે ? તમારી એક પણ ભૂલ તમને જે દેખાતી ન હોય, એ બધી જ દેખાયા કરે. આ તો કાયદેસરની વાત છે ને ! તમને બધાંને ઓછી દેખાય છે માટે તો હું ઉપરી છું હજુ. તમારી (પા.૪૩)દેખાતી થાય તો પછી શું કરવા હું ઉપરી થઉં ? આ પંચાતમાં હું ક્યાં પડું ? એટલે કાયદો જ દુનિયાનો એ છે. જેને પોતાની પૂર્ણ ભૂલો દેખાશે એટલે એને ઉપરી કોઈ ના રહ્યો. તેથી અમે કહીએ ને કે અમારો કોઈ બાપોય ઉપરી નથી. ઉલટા ભગવાન અમને વશ થઈ ગયેલા છે. ‘અમને’ હરેક ભૂલ, પોતાની કિંચિત્માત્ર ભૂલ, કેવળજ્ઞાનની અંદર દેખાતી ભૂલો પણ અમને દેખાય. બોલો, હવે કેવળજ્ઞાન વર્તે નહીં, છતાંય કેવળજ્ઞાનમાં દેખાતી ભૂલ દેખાય ! દ્રષ્ટિ નિજદોષ ભણીઆ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચાર આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર દ્વેષ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી, એટલે જ્ઞાનીઓ શું જુએ ? આખા જગતને નિર્દોષ જુએ. કારણ કે આ બધું ‘ડિસ્ચાર્જ’માં છે, એમાં એમનો બિચારાનો શો દોષ ? તમને કોઈ ગાળ ભાંડે તે ‘ડિસ્ચાર્જ’. ‘બોસ’ તમને ગૂંચવે તે પણ ‘ડિસ્ચાર્જ’ જ છે. બોસ તો નિમિત્ત છે. કોઈનો દોષ જગતમાં નથી. જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે અને એ જ ‘બ્લંડર્સ’ છે અને તેનાથી જ આ જગત ઊભું રહ્યું છે. દોષ જોવાથી, ઊંધું જોવાથી જ વેર બંધાય છે. પ્રમત્ત ભાવથી દિસે પરદોષઆ જગતમાં કોઈ ગુનેગાર નથી. જે ગુનેગાર દેખાય છે એ આપણી પોતાની કચાશ છે. કોઈ ગુનેગાર દેખાય છે એ જ તમારો પ્રમત્ત ભાવ છે. ખરી રીતે અપ્રમત્તપણું હોવું જોઈએ. એટલે કોઈ ગુનેગાર દેખાય જ નહીં. પ્રશ્નકર્તા : પ્રમત્ત ભાવ એટલે શું ? દાદાશ્રી : વસ્તુ, વસ્તુનો સ્વભાવ ચૂકે તે પ્રમત્ત કહેવાય. વસ્તુ તેના મૂળ ધર્મમાં રહે તે અપ્રમત્ત ભાવ. (પા.૪૪)વીતરાગોએ કીધું મુક્તિકાજતમે તમારી અણસમજણથી આવું બધું ગૂંચાઓ છો. એ ગૂંચવણ માટે તમારે મને પૂછવું જોઈએ કે મને અહીં ગૂંચાય છે તો આમાં શું કરવું ? એટલે પૂછવું. એના માટે આપણે સત્સંગ રાખીએ છીએ. એક કર્મ ઓછું થઈ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક જ કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે ? એમનાં મોઢાં પર જાણે ‘દિવેલ પીધું ના હોય !’ એવાં થઈને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઈ ? મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે ? મહીં પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોઢું થઈ જાય ! દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઈ જાય. પોતાનો દોષ ખોળો એમ ‘વીતરાગો’ કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. ‘તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ, આટલું જ મુક્તિધામ આપશે તને.’ આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને. જરૂર છે ભૂલ વગરના જ્ઞાન અને સમજણનીએક આચાર્ય મહારાજ કહે, ‘મારો મોક્ષ ક્યારે થશે ?’ ત્યારે ભગવાન કહે, ‘તમારું જ્ઞાન ને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે.’ આ ભૂલ છે, એ જ ભૂલથી અટક્યા છે. તમારું જ્ઞાન અને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. ત્યારે શું ખોટું કહે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : ત્યારે કોઈ કહે, સાહેબ જપ-તપ કરવાનાં તે ? એ તો તારે જે દહાડે પેટમાં અજીર્ણ થયું હોય તો તે દહાડે ઉપવાસ કરજે. જપ-તપની અમારે શર્ત નથી. તારી સમજણ ને જ્ઞાન ભૂલ વગરનું કર, કોઈ પણ રસ્તે. શું ખોટું કહે છે ભગવાન ? ભૂલ છે ત્યાં સુધી તો કોઈ કબૂલ જ ના કરેને ! અત્યારે તો કેટલી બધી ભૂલો ?! હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, એમ કહે છે પાછો ને આ બાબાનો બાપો છું, કહે છે. કેટલી બધી ભૂલો ! આ તો (પા.૪૫)પરંપરા ભૂલોની. મૂળમાં ભૂલ. મૂળ ત્યાં રકમ છે તે એક અવિનાશી છે અને એક છે તે વિનાશી છે. અને અવિનાશી જોડે વિનાશી ગુણવા જાય છે, ત્યારે હોરો તો પેલી રકમ ઊડી જાય છે. પેલી વિનાશી, ધણી નહીં તો બાપો તો ખરો, એ મૂકીએ ત્યાર હોરો તો એ ઊડી એટલે ગુણાકાર કોઈ દહાડો થાય નહીં, જવાબ આવે નહીં ને દી વળે નહીં. શક્કરવાર કાયમ રહે. શક્કરવાળ વળે નહીં ને શનિવાર થાય નહીં, એવરી ડે ફ્રાઈડે (દરરોજ શુક્રવાર). ભગવાને કંઈ એમ કહ્યું છે કે તપ કરજે, જપ કરજે, ભૂખ્યો મરજે, ઉપવાસ કરજે, ત્યાગ કરજે એવું કહ્યું છે ? તારું જ્ઞાન ને તારી સમજણ ભૂલ વગરની કર, તે દહાડે તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે ! જીવતા દેહધારીનો મોક્ષ !!! ભગવાનની વાત તો સહેલી જ છે ને પણ આપણે તપાસ કરી કોઈ દહાડો કે ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણ શી રીતે થાય ? આપણે તો એવી તપાસ કરી કે શું આજે ઉપવાસ કરવો છે કે આજે શેનો ત્યાગ કરું ? અલ્યા, ભગવાને ત્યાગની શર્ત ક્યાં કરી છે ? આ તો ઊંધા રસ્તે ચઢી ગયા, આડગલીઓમાં પેસી ગયા. ભગવાને શું કહેલું, જ્ઞાન અને સમજણ ભૂલ વગરની કરી નાખ તું. પ્રશ્નકર્તા : સમજણ ભૂલ વગરની એ વાત ફરીથી સમજાવો. દાદાશ્રી : હા. તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. સમજણમાં જ ભૂલ તમારી. એ જ્યારે ભૂલ વગરની થશે, મારી જોડે બેસી બેસીને, તો નિવેડો આવે. જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી કેમ નિવેડો આવે ? કોઈની ભૂલો હશે ? પછી શું કહે છે, તું પોતે મોક્ષ સ્વરૂપ છું. તું પોતે જ પરમાત્મા છે. માત્ર ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણનું ભાન થવું જોઈએ. જ્ઞાન કેવું હોય ? ભૂલ વગરનું. અને સમજણ કેવી હોવી જોઈએ ? ભૂલ વગરની. જો જ્ઞાન એકલું હશે તો પપૈયા નહીં બેસે. છે ઝાડ પપૈયાનું પણ એક પપૈયો ના બેસે, એવું હોય ખરું ? તમે જોયા નહીં હોય પપૈયા ? (પા.૪૬)પ્રશ્નકર્તા : જોયેલા છે. દાદાશ્રી : જોયેલાં ? અલ્યા મૂઆ, ઉછેરીને મોટો કર્યો, તો આવો નીકળ્યો ? પાણી પાઈ ઉછેરીને મોટો કર્યો, તો મહીં આવો નીકળ્યો ? મહીં પપૈયું જ ના બેસે. એટલે જ્ઞાન ભૂલ વગરનું થવું જોઈએ ને ભૂલ વગરની સમજણ. હવે એકલું જ્ઞાન ભૂલ વગરનું થાય તોય કશું વળે નહીં. સમજણ ભૂલ વગરની થાય તો ચાલે. સમજણ એ હાર્ટને પહોંચે છે અને જ્ઞાન એ બુદ્ધિને પહોંચે છે. આજે ચાલુ જ્ઞાન એ, લોકોનું વ્યવહારિક જ્ઞાન એ બુદ્ધિને પહોંચે અને સમજણ એ હાર્ટને પહોંચે, હાર્ટવાળું ઠેઠ પહોંચાડે છે. મોક્ષ સુધી પહોંચાડે છે. એને આપણા લોક સૂઝ કહે છે. આ સમજણ જે છે, તેનાથી સૂઝ ઉત્પન્ન થાય છે ને સૂઝથી સમજણ ઉત્પન્ન થાય છે, એ ઠેઠ પહોંચાડનારી વસ્તુ ઉત્તમમાં ઉત્તમ આ છે. ભૂલથી તો આ સંસારેય સારો નથી ચાલતો, તો ભૂલથી તો મોક્ષ થાય કોઈ દહાડોય ? જ્ઞાન ને સમજણ ભૂલ વગરની થશે, તમે જાણો કે જ્ઞાન તો આવું છે અને આ તો બધું અજ્ઞાન છે, ભૂલવાળું છે ત્યારથી જ્ઞાન થયા કરે. આ તો આટલી ઉંમરેય એને એમ શરમ ના આવે કે હું આમનો ધણી છું. કહેતા શરમ આવે ? એવું કહે. આ મારા ધણી થાય. એવું બઈએય કહે. આટલી ઉંમરે એમને શરમેય ના આવે, બળી. કારણ કે એંસી વર્ષના થયા, તેનેય શરમ નથી આવતી. કારણ કે જેવું જાણે એવું બોલેને અને લોકેય સમજે એવું બોલેને ! નહીં તો ક્યાં જાય ? પણ એ જ્ઞાન ખોટું નથી. આ જે જાણે છે તે પણ એ વ્યવહારનું જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી. આ સાચા જ્ઞાનમાં તો તમે શુદ્ધાત્મા છો અને એય શુદ્ધાત્મા છે. પણ એ શુદ્ધાત્માનું ભાન થવું જોઈએ ને ? અત્યારે તો ‘હું ચંદુલાલ છું’ એ ભાન છે, ‘હું જૈન છું’ એ બીજું ભાન છે. ઉંમર ચુમોત્તેર વર્ષની છે, એય પણ ભાન (પા.૪૭)છે. બધુંય ભાન છે. નાનપણમાં ક્યાં ક્યાં રમવા ગયેલા તેય ભાન છે. નોકરી ક્યાં ક્યાં કરેલી, વ્યાપાર ક્યાં ક્યાં કર્યા, તેય બધું ભાન છે પણ ‘પોતે કોણ છે?’ એ ભાન નથી. પ્રશ્નકર્તા : હવે એ આપો તમે, એ ભાન કરવાની ઇચ્છા જાગૃત થઈ છે ને એ માટે આવ્યા છીએ. દાદાશ્રી : એ જ્ઞાન માટે ભવોભવ ઇચ્છા હોય છે, પણ સાચું નિયાણું નથી કર્યું. જો નિયાણું કર્યું હોત ને તો બધી પુણ્યૈ એમાં વપરાઈ જાય. નિયાણાનો સ્વભાવ શો ? ત્યારે કહે કે જેટલી તમારી પુણ્યૈ હોય તે નિયાણા ખાતે જ વપરાય. આ તો ઘરમાં પુણ્યૈ વપરાઈ ગઈ, દેહમાં પુણ્યૈ વપરાઈ ગઈ, બધામાં પુણ્ય વપરાઈ ગયું, મોક્ષનું નિયાણું કરેલું નહીં ને ! મોક્ષનું નિયાણું કરેલું હોત તો બધી પુણ્યૈ એમાં જ વપરાઈ જાય. જોને અમે મોક્ષનું નિયાણું કરી આવેલા તે બધું પાંસરું ચાલે છે ને કંઈક અડચણો હોય તો મિલમાલિકોને અડચણ હશે, વડાપ્રધાનને હશે, પણ અમારે કોઈ અડચણ નહીં. ભૂલ વગરનું, જ્ઞાન અને સમજણપ્રશ્નકર્તા : ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણ થશે તો તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે. કેટલી બધી ઊંચી વાત કહી દીધી. આરોપિત ભાવ એ જ મૂળમાં ભૂલ છે, બંધન છે. દાદાશ્રી : હા અને આ વિજ્ઞાન ઊભું ના થાય ત્યાં સુધી આવો ફોડ જ ના પડે ને ! શાસ્ત્રમાં આવો ફોડ જ ના હોયને ! ફક્ત શુભ કરો, કંઈક શુભ કરો, કહેશે પણ આરોપિત ભાવ છે એવું તો કોઈ સમજાવે કરે નહીં. કારણ કે જ્ઞાની પુરુષ વગર આવો ફોડ પડે નહીં. લોકોને બુદ્ધિમાં સમજાઈ ગયેલું હોય કે આ કંઈક ભૂલ છે, બહુ મોટી ભૂલ થઈ રહી છે. એવું સમજાય પણ તોય જ્ઞાની પુરુષ ભેગા ના થાય તો કરે શું તે ? એમ ને એમ કેરી બફાયા કરે. લોક સમજણવાળા બહુ, તે બુદ્ધિમાં (પા.૪૮)બધું સમજીને તોર કાઢે કરે કે આ શું છે તે ? પણ તોય બફાયા કરે. અને જ્ઞાની પુરુષ ભેગા થાય તો બધા ફોડ પાડી આપે. દરેક શબ્દનો ફોડ ના પડે તો એ જ્ઞાની પુરુષ નહીં. ફોડ પડવા જ જોઈએ. અજ્ઞાનથી ફોડ પડતા હોય તો અજ્ઞાન શું ઓછું હતું ? અજ્ઞાને ક્યાં ન હોતું આપણે ઘેર ? સ્ટોક બંધ હતું જ ને ! કાફી છે બેસવી પ્રતીતિ ભૂલનીઆ લોકો કહે છે કે હવે અમે અમારા દોષો છે એ અમે જાણ્યા. પણ હવે કાઢી આપો. તમે અમને મારો-કરો, જે કરવું હોય એ કરો, પણ દોષ કાઢી આપો. હવે એના માટે શું રસ્તો ? દોષ કેવી રીતે પેઠો, એ તમે તપાસ કરો. ત્યાર પછી ખબર પડે. દોષ નીકળે કેવી રીતે ? પેઠો તે ઘડીએ ઘાલવો નથી પડતો. એટલે કાઢવા વખતે કાઢવો ના પડે. જે વસ્તુ ઘાલેલી હોય તે કાઢવી પડે. આ તો મને કહે છે, ‘દોષ કાઢી આપો.’ અલ્યા પણ એ શાથી પેસી ગયાં ? ત્યારે કહે, ‘એક માણસ એવા કુસંગમાં ગયો. તે એને ખાતરી થઈ કે ‘આ મઝા કરે છે અને આ રસ્તો બહુ સરસ. બહુ સરસ સુખનો.’ એને એ જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ, પ્રતીતિ બેસી ગઈ. એવી રીતે હું આમને શું કરું છું ? જે એમની ભૂલો છે એ નકારે છે. કે ‘અમારામાં બિલકુલેય ભૂલ નથી એવી, લોકોનામાં ભૂલ છે.’ એ એમની ભૂલ એમને દેખાડું છું. પછી એમને પ્રતીતિ બેસે છે, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) કે આ બધી ભૂલો જ છે. એ અમે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ છીએ. ‘આ ભૂલ અમને કાઢી આપો.’ કહે. મેં કહ્યું, હવે કાઢવાનું ના હોય. પ્રતીતિ બેસી ગઈ, એ જ નીકળવા માંડી. તારે ફક્ત મન ખુલ્લું રાખવાનું કે ભઈ, તમે ચલે જાવ. બસ, એટલું જ બોલવાની જરૂર. પ્રતીતિ બેસવાથી જ ભૂલ જતી રહે ને પ્રતીતિ બેસવાથી ભૂલ પેસે. ઘાલવા-કાઢવાનું ના હોય એ તો. આ તો કંઈ કારખાના છે ? તે એક ભૂલ કાઢવી હોય તો કેટલાય વખત થાય તે ? અવતારોના અવતારો જાય. સમજાય એવી વાત છે ને આ બધી ? (પા.૪૯)પ્રતીતિ, એમાં ડાઘ ના પાડવો જોઈએ. પ્રશ્નકર્તા : આપ સીમ્પટમ્સ્ (લક્ષણો) જોતાં નથી અને મૂળ કૉઝની (કારણની) દવા કરો છો, એવાં ડૉક્ટર ક્યાં મળે ? દાદાશ્રી : ડૉક્ટર નથી તેની તો આ ભાંજગડ છે ને ! એવા ડૉક્ટર મળ્યા નથી અને દવાય મળી નથી, એટલે પછી આ ચાલ્યું તોફાન ! એટલે પછી પરિણામને ઝૂડ ઝૂડ કરવા માંડ્યા, ઈફેક્ટને ! શ્રદ્ધાથી પેઠું. એ પ્રતીતિ સંપૂર્ણ બેઠી, એટલે એ પેઠું. અને પ્રતીતિથી ઊતરે. સંપૂર્ણ પ્રતીતિ થવી જોઈએ કે આ દોષ જ છે. એટલે નીકળી જશે. આ જ નિયમ છે. પછી એને રક્ષણ ના કરે, પ્રોટેક્શન (રક્ષણ) ના આપે તો ચાલી જાય. પણ પાછો પ્રોટેક્શન આપે જ. આપણે કહીએ, ‘સાહેબ, આ છીંકણી સુંઘો છો હજુ ?’ ત્યારે કહે, ‘એ વાંધો નહીં.’ એ પ્રોટેક્શન આપ્યું કહેવાય. મનમાં જાણે કે આ ખોટું છે. પ્રતીતિ બેઠી હોય, પણ પાછું પ્રોટેક્શન આપે. પ્રોટેક્શન ના આપવું જોઈએ. આપે ખરા પ્રોટેક્શન ? પ્રશ્નકર્તા : હા, પ્રોટેક્શન આપે જ ને ! દાદાશ્રી : આબરૂ જતી રહેલી, છે જ ક્યાં આબરૂ ? આબરૂવાળો તો આ કપડાં પહેરીને ફરતો હશે ? આ તો ઢાંક ઢાંક કરે છે આબરૂ ! ઢાંકી ઢાંકીને આબરૂ રાખ્યા કરે છે. ફાટે ત્યારે સાંધી લે છે, અલ્યા, જોઈ જશે, સાંધી કાઢ. ભૂલ ભાંગી આપે એ ભગવાનપોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ કોઈ ભાંગી ના શકે. ભૂલ દેખાડતાં પણ આવડવી જોઈએ. જો ભૂલ દેખાડતા ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઈને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. (પા.૫૦)ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તનપોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય. પ્રશ્નકર્તા : આ રીતે કોઈ ભગવાન થયેલો ? દાદાશ્રી : જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની ભૂલ પોતાને જડેલી અને ભૂલને ભાંગેલી તે ભગવાન જ થયેલા. એ ભૂલ રહે નહીં એવી રીતે ભૂલને ભાંગી નાખે. બધી ભૂલો દેખાય, એક એવી ભૂલ ન હતી કે ના દેખાઈ હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી બધી જ ભૂલ દેખાય. અમનેય અમારી પાંચ-પચાસ ભૂલ તો રોજ દેખાય અને તેય સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો દેખાય, જે લોકોને નુકસાનકારક કશુંય ના હોય. આ બોલતાં બોલતાં કોઈનું અવર્ણવાદ બોલી જવાય, તેય ભૂલ કહેવાય. એ તો પાછી સ્થૂળ ભૂલ કહેવાય. હવે ભૂલ કોને દેખાય ? ત્યારે કહે, ભૂલ વગરનું એનું ચારિત્ર, શ્રદ્ધામાં છે પોતાને ! હા, અને ભૂલવાળું વર્તન, વર્તનમાં છે, એને ભૂલ દેખાય. ભૂલ વગરનું ચારિત્ર એની શ્રદ્ધામાં હોય, ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ દર્શનમાં હોય અને ભૂલવાળું વર્તન એના વર્તનમાં હોય, તો એને અમે છૂટો થયેલો કહીએ છીએ. ભૂલવાળું વર્તન ભલે રહ્યું. પણ એનાં દર્શનમાં શું છે ? એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ રહિતનું ચારિત્ર કેવું હોવું જોઈએ ? એ મહીં દર્શનમાં હોવું જોઈએ. દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ ન રહે એવું દર્શન હોવું જોઈએ, તો જ ભૂલ દેખાઈ જાયને ?! દેખનારો ‘ક્લીયર’ હોય તો જ દેખી શકે. તેથી અમે કહીએ છીએને કે ૩૬૦૦ વાળા જે ભગવાન છે ને તે સંપૂર્ણ ‘ક્લીયર’ (ચોખ્ખા) છે અને અમારું ‘અનક્લીયરન્સ’ દેખાડે છે. આ જ્ઞાન મળ્યા પછી બધાંને ‘બે’ તો થાય જ. પેલામાં પણ ‘બે’ હોય છે. જેને જ્ઞાન ના મળ્યું હોય, તેનેય ‘બે’ હોય છે અને આ પણ ‘બે’ હોય છે. આ જ્ઞાન પછી અંદર ને બહાર જોઈ શકે. તે અંદર ભૂલ વગરનું ચારિત્ર આ છે, એવું એ દર્શનમાં જોઈ શકે ! અને ભૂલ વગરનું ચારિત્ર જેટલું એનાં દર્શનમાં ઊંચું ગયું, એટલી છે તે ભૂલો એને દેખાય. મહીં જેટલું ટ્રાન્સ્પરન્ટ (પા.૫૧)(પારદર્શક) ને ક્લીયર થયું, અરિસો શુદ્ધ થયો કે તરત મહીં દેખાય. એમાં ઝળકે ભૂલો ! તમારે ભૂલો ઝળકે છે કે મહીં ? પ્રશ્નકર્તા : દેખાય છે. ભૂલ વગરનું ચારિત્ર જેનાં દર્શનમાં હોય અને ભૂલવાળું ચારિત્ર જેનાં વર્તનમાં હોય એટલે દેખાય ? દાદાશ્રી : એટલે તરત ખબર પડે કે પેલું ભૂલ વગરનું. એટલે ભૂલ વગરનું ચારિત્ર દર્શનમાં હોય, તે કહી આપે કે આ ભૂલ થઈ. અલૌકિક સામાયિક એ પુરુષાર્થએટલે ભૂલો દેખાવા માંડીને, તે જેટલી દેખાય એટલી જાય. તમને થોડી ભૂલો દેખાય છે ? રોજ પાંચ-દસ દેખાતી જાય છે ને ? એ દેખાઈ, એટલે દેખાવાનું વધતું જશે. હજુ તો બહુ દેખાશે. જેમ જેમ દેખાતી જાય, તેમ તેમ આવરણ ખૂલતાં જાય ને તેમ વધુ દેખાતી જાય. અમુક દોષો બંધ થાય એવું નથી, એ તો માર ખાશે ત્યારે અનુભવ થશે, ત્યારે દોષો બંધ થશે. હું જાણું કે આ અનુભવ વગર બંધ ના થાય. બંધ કરાવીએ તે ખોટું છે. જેટલું કરવું હોય એટલું થાય એવું છે અને તે કરે છે કેટલાક મહાત્માઓ. પુરુષાર્થ છે પણ એ બધા માણસોને આવડતો નથી. આપણે ત્યાં જે પેલું સામાયિક કરાવે છેને, એ મોટો પુરુષાર્થ છે. ભૂલનો સ્વભાવ કેવો છે કે ભૂલ દેખાઈ કે ભૂલ જવાની તૈયારી કરી દે. ભૂલ ઊભી ના રહે. દોષ થાય તેનો વાંધો નથી પણ દોષ દેખાવો જોઈએ. દોષ થાય છે તેનો દંડ નથી પણ ભૂલો દેખાય છે તેનું ઈનામ મળે છે. કોઈને પોતાની ભૂલો ના દેખાય. આત્મા પ્રાપ્ત થયા પછી નિષ્પક્ષપાતી થાય એટલે ભૂલો દેખાવાની શરૂ થાય.઼ આ જ્ઞાન આપ્યા પછી તમે નિષ્પક્ષપાતી થયા એટલે દેહનો પક્ષપાત તમને પાડોશી જેટલો રહ્યો. એટલે જે ભૂલ હોય તે દેખાયા કરે. દેખાઈ એટલે જવા માંડે. (પા.૫૨)ન અડે કશું શુદ્ધ ઉપયોગીનેહવે આ જ્ઞાન જ તમારી જે ભૂલો છે તે દેખાડે છે. ‘ચંદુભાઈ’ કોઈની જોડે ઊગ્ર થઈ ગયા તો ‘તમને’ માલમ પડી જાય કે ઓહોહો, ભૂલ કેટલી બધી હતી ! એટલે ભૂલો દેખાય એનું નામ આત્મા. નિષ્પક્ષપાત થયો, એનું નામ આત્મા. જ્યાં સુધી તમે આત્મા છો, ત્યાં સુધી દોષ અડે નહીં. જો તમે શુદ્ધ ઉપયોગમાં હો, તો તમારાં હાથે કોઈ વસ્તુ ખોટી થાય તોય તમને અડે નહીં. શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં. એટલે અમને આચાર્ય મહારાજ પૂછે છે કે અમે ઊઘાડે પગે ફરીએ છીએ, જીવોની અહિંસા પાળવા માટે અને તમે તો મોટરમાં ફરો છો. તમારું જ્ઞાન સાચું છે, એ અમે કબૂલ કરીએ છીએ પણ તમને દોષ નહીં લાગતો હોય ? મેં કહ્યું કે અમે શુદ્ધ ઉપયોગી છીએ. આરોપ આપ્યે અટકે આગળનું વિજ્ઞાનસામો નિર્દોષ દેખાય તો દોષિત કોણ દેખાય ? પ્રશ્નકર્તા : જેની પાસે અજ્ઞાન વધારે હોય એને વધારે દોષિત લાગે. દાદાશ્રી : હા, સામો માણસ દોષિત લાગે. અને જેની પાસે જ્ઞાન જ હોય, તેને સામો માણસ દોષિત બિલકુલ લાગે નહીં. હવે દોષિત લાગે નહીં. છતાંય દોષ કોનો ? કોઈનો દોષ તો હોવો જોઈએ ને ? આ જેટલાં દોષ બને છે એ બધા જ તમારા પોતાનાં જ દોષ છે. પોતાના જ દોષ છે, એવું જેણે જોયું નથી, વિચાર્યું નથી અને એ દોષનો પોતે નિકાલ કરતા નથી. અને બીજાં લોકોને આરોપ આપ આપ કરે છે. તેથી આગળનું વિજ્ઞાન બધું બંધ થયું છે, અટક્યું છે. તમારા દોષ જ્યારે સમજાય, ત્યારે તમને આગળ વિજ્ઞાન ચાલુ થાય. બુદ્ધિ એક્સપર્ટ, દોષ જોવામાંઆ જગતમાં કોઈ દોષિત જ નથી. આ દોષ દેખાય છે તે જ આપણી ભ્રાંતિ છે. તમને સમજ પડી આ વાત થોડી ઘણી ? (પા.૫૩)પ્રશ્નકર્તા : થોડી પડી. દાદાશ્રી : કોઈ દોષિત જ નથી. દોષિત તો આપણને આ બુદ્ધિ મહીં ઊંધું દેખાડ દેખાડ કર્યા કરે છે ને તેથી આ બધો સંસાર ઊભો રહ્યો છે. બુદ્ધિને દોષ જોતાં બહુ આવડે. ‘પેલાએ આમ કર્યું છે ને !’ આપણે કહીએ કે તમારા દોષનું વર્ણન કરો. ત્યારે કહેશે, એવું કંઈ ખાસ નથી. એક-બે દોષ છે, બાકી ખાસ નથી. દોષ જોવો જાતનો જ સદાપ્રશ્નકર્તા : કોઈ દોષિત નથી એટલે પોતે પણ દોષિત નથી એવું થયુંને ? દાદાશ્રી : નહીં, મને આ દુઃખે છે કે કેમ ? ઉપરથી કોઈકે ઢેખાળો નાખ્યો અને મને વાગ્યું એટલે દોષ કોનો કહેવો ? પ્રશ્નકર્તા : એ તો કોઈનો દોષ નથી. દાદાશ્રી : એટલે ત્યાં આગળ આ મારો દોષ હશે, ત્યારે આ બન્યું. તે પોતાની જાતનો દોષ તો જોવો જ પડશે ને ?! અને પોતાની ભૂલો જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી માણસ હજુ આગળ વધે કેવી રીતે ? બાકી કોઈ ગાળ ભાંડે અને પોતાને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને સામો નિર્દોષ છે એવું સમજાય, પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આજ મોક્ષે લઈ જાય. આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળેને, તો મોક્ષે જતો રહે. દોષ દેખે ત્યાં બુદ્ધિ સ્થિરપ્રશ્નકર્તા : એટલે પારકાંનો દોષ નહીં આપણો જ દોષ ? દાદાશ્રી : હા, એવું છેને, બુદ્ધિને એક જગ્યાએ સ્થિર કર્યા વગર કામ નહીં થાય એટલે જો એનો દોષ જોશો તોય બુદ્ધિ સ્થિર થશે. અને એને નિર્દોષ જુઓને પોતાનો દોષ જુઓ, તોય બુદ્ધિ સ્થિર થાય. નહીં તો એમ ને એમ (પા.૫૪)બુદ્ધિ સ્થિર થાય નહીંને પાછી ! પ્રશ્નકર્તા : એટલે ક્યાંક તો દોષ છે. એનો અર્થ એ થયો કે ત્યાં દોષ નથી તો અહીંયા દોષ છે. દાદાશ્રી : હા, એટલો જ ફેર. પ્રશ્નકર્તા : હવે સમજમાં બેઠું કે આ નિર્દોષ કેવી રીતે છે ! દાદાશ્રી : કારણ કે બુદ્ધિ શું કહે છે ? બુદ્ધિ સમાધાન ખોળે છે, સ્થિરતા ખોળે છે. એટલે તમે કોઈકનો દોષ કાઢો તો બુદ્ધિ સ્થિર થાય. પછી એની જવાબદારી ગમે તે હોય. પણ કોઈકનો દોષ કાઢ્યોને એટલે બુદ્ધિ સ્થિર થાય. દોષ કોઈનો નથી, મારો જ છે, તોય બુદ્ધિ સ્થિર થાય. પણ આમ બુદ્ધિ સ્થિર થવાનો રસ્તો એ મોક્ષમાર્ગ. હવે બુદ્ધિ આમેય સ્થિર થાય અને આમેય સ્થિર થાય છે પણ જે કોઈના પર આરોપણ થયા સિવાયની બુદ્ધિ હોય, એવી બુદ્ધિની સ્થિરતા હોવી જોઈએ. એટલે આપણે પોતાના પર જ નાખીએ તો આનો ઉકેલ આવે એવો છે. તો બુદ્ધિ પણ સ્થિર થાય ને ! આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે. અને પોતાની ભૂલ પકડાતી નથી. અને સામાની ભૂલ તરત માલમ પડી જાય. કારણ કે બુદ્ધિ મૂકાઈ છે ને ! અને જેને બુદ્ધિ મૂકાઈ નથી તેને તો કંઈ ભૂલનો સવાલ જ નથી રહેતો ને, કોઈ ફરિયાદ જ નહીં ને ! ગાયો-ભેંસો છે, બધા એવાં અનંતા જીવો છે, એ લોકોને કોઈ ફરિયાદ નહીં, બિલકુલ ફરિયાદ નહીં. પ્રશ્નકર્તા : આ બહુ મોટી વાત નીકળી કે બુદ્ધિને સ્થિર કરવાની. પહેલા બુદ્ધિને ત્યાં સંસારમાં સ્થિર કરતાં હતાં ત્યાં દોષ દેખાતો હતો. દાદાશ્રી : હા, બુદ્ધિને સ્થિર કરવા માટે સાધન જોઈએ. તે છેવટે પોતે ગુનેગાર નથી એમ ઠરાવે લોકો. તો આપણે કહીએ, પેલો તો ગુનેગાર ખરોને ! એટલે કોઈકને ચોંટી પડીએ, પણ ત્યાં બુદ્ધિ સ્થિર કરીએ કોઈ જગ્યાએ. એટલે (પા.૫૫)બુદ્ધિ જો સ્થિર ના થાય તો બીજું શું કરો ? તો પછી તમારે એમ કહેવું કે મારો જ દોષ છે. એટલે બુદ્ધિ અહીં સ્થિર થાય. નહીં તો બુદ્ધિ હાલી એટલે મહીં અંતઃકરણ આખું હાલમડોલ, હાલમડોલ, અહીં જેમ હુલ્લડ થયું હોયને, એવું જ. એટલે બુદ્ધિ સ્થિર કરવી પડે ને ? સ્થિર ના કરીએ ત્યાં સુધી હુલ્લડ જાગ્યા જેવું થાય. અજ્ઞાની પોતાની જવાબદારી પર બુદ્ધિ સ્થિર કરે છે અને તમે લોકો પોતાની ભૂલ જોવામાં સ્થિર કરો. અને પછી સ્થિર કરે એટલે હુલ્લડ બંધ થઈ ગયું ને ! નહીં તો વિચારોની પરંપરા ચાલ્યા કરે મહીં. જો એવું કહ્યું કે આ પેલાની ભૂલ છે. એટલે આપણી બુદ્ધિ સ્થિર થાય. પછી નિરાંતે જમવાનું ભાવે. પણ એમાંથી પછી સંસાર આગળ વધતો જાય છે. આપણે સંસાર કાઢી નાખવો છે. એટલે આપણે કહીએ, ભૂલ મારી છે, તો જ બુદ્ધિ સ્થિર થશે અને પછી જમવાનું ભાવશે. બુદ્ધિ સ્થિર થવી જોઈએ. સમજાય એવી વાત છે ને ? પ્રશ્નકર્તા : બુદ્ધિ સ્થિર થાય એ તદ્દન સમજાય એવી વાત છે. દાદાશ્રી : હા, અને જ્યાં સુધી બુદ્ધિ અસ્થિર છે, ત્યાં સુધી ખાવા નહીં દે, જમવા નહીં દે, સૂવા નહીં દે, કશું નહીં કરવા દે. ત્યાં એ મનની ચંચળતા નથી, બુદ્ધિની ચંચળતા છે. બુદ્ધિ સ્થિર થઈ કે ઉકેલ આવી ગયો. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને બુદ્ધિ સ્થિર થાય, સંસાર તરફ અગર તો આત્માની તરફ... દાદાશ્રી : તમે સામાનો દોષ આપો તો તમારી બુદ્ધિ સ્થિર થઈ, એટલે તમને ખાવા દે, પીવા દે, બધું ઊંઘવા દે પણ સામાનો દોષ આપવાથી સંસાર ઊભો રહેશે. અને હું શું કહું છું કે સંસાર જો આથમી નાખવો હોય તો મૂળ દોષ તમારો છે, વાસ્તવિકતામાં આમ છે. હવે પોતાનો દોષ આપો, તો અહીંય બુદ્ધિ સ્થિર થઈ જશે. બુદ્ધિને એવું નથી કે આપણો પોતાનો દોષ કાઢે. પણ બુદ્ધિ સ્થિર થવી જોઈએ, બુદ્ધિને સ્થિર કર્યા સિવાય ચાલે નહીં. આવું કંઈ શાસ્ત્રમાં ઓછું લખવામાં આવે છે ? (પા.૫૬)એવું છેને, આ જગતનું આખું સરવૈયું શાસ્ત્રમાં નથી રહ્યું. પણ અમે એને ખુલ્લું કરીએ છીએ કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આવું બધું જે દેખાય છે, મારફાડ, ખૂન ખરાબી બહુ થાય છે, ચોરીઓ, લુચ્ચાઈ બધું થાય છે, એમાં કોઈ દોષિત જ નથી. એ વાસ્તવિક દ્રષ્ટિ છે. વાસ્તવિક દ્રષ્ટિ ઉપરથી જો કદી એનો તાળો મેળવો તો તમારી દોષ દ્રષ્ટિ નીકળી ગઈ કે તમે ખુદા થઈ ગયા, બસ ! બીજું કશું છે નહીં. પામવા મુક્તિ, જુએ નિજદોષજગત નિર્દોષ જ છે કાયમને માટે, સાપેય નિર્દોષ છે ને વાઘેય નિર્દોષ છે. સાપ ને વાઘ બધાય નિર્દોષ છે. આ ઇન્દિરાય નિર્દોષ છે અને મોરારજીય નિર્દોષ છે અને જશલોકવાળાય નિર્દોષ છે, બધા નિર્દોષ છે. પણ દોષ દેખાય છે ને ? બીજાના દોષ દેખાતા જેટલાં બંધ થઈ ગયાં એ જ મોક્ષની ક્રિયા. દોષ દેખાય છે એ સંસારની અધિકરણ ક્રિયા. એટલે આપણો જ દોષ, બીજા કોઈનો દોષ નહીં. પારકાંના દોષ દેખાતા બંધ થઈ ગયા એ મોક્ષની ટિકિટવાળો થઈ ગયો. નહીં તો જગત આખું બધું પારકાંના જ દોષ જુએ. એટલે પોતાના દોષ જોવા માટે જગત છે. પારકાંના દોષ જોવાથી જ આ જગત ઊભું થયું છે અને પારકાંનાં દોષ જુએ કોણ ? જેને ગુરુત્તમ બનવું હોય તે. મોક્ષે જનારો પોતાની ભૂલ જોયા કરે ને પારકાંની ભૂલ જોનારો સંસારમાં ભટક્યા કરે. કોઈ પારકાંની ભૂલ જોતાં હશે, તેમાં કંટાળવું નહીં. મૂઓ એ અહીં ભટકવાનો છે એટલે એ જોયા જ કરેને, એ ભટકવાનો છે. તે એવું ના કરે તો પછી એ ભટકે શી રીતે ? આવી જાવ, એક વાત પરઅહીં જો તમને ગમતું હોય તો દોષિત જોયા કરવું. સંસાર ગમતો હોય તો જગતને દોષિત જોયા કરો અને સંસાર ન ગમતો હોય તો એક કિનારે આવો. એક વાત ઉપર આવી જાવ. જો સંસાર ન ગમતો હોય તો સંસાર દોષિત નથી, એવું તમે જોયા કરો. મારા દોષે જ થઈને આ ઊભું થયું છે. એક કિનારે તો લાવવું પડશે ને ? વિરોધાભાસ ક્યાં સુધી ચાલવાનું ? મહાવીર ભગવાનને (પા.૫૭)કોઈ દોષિત લાગ્યું નથી. પેલા ઉપરથી દેવ આવીને હેરાન કરી ગયા તોય એમને દેવ દોષિત નથી લાગ્યા. પડ્યો જ હોય માંહી એ દોષજગતમાં દોષિત ના દેખાય. નિર્દોષ દેખાતા હોવા જોઈએ. પ્રશ્નકર્તા : એવું તો ખરુંને, આપણે જેને દોષિત જોઈએ છીએ, જે દ્રષ્ટિએ દોષ જોઈએ છીએ, એ દોષ આપણામાં ભરાયેલા છે. દાદાશ્રી : તેથી જ દેખાય. પ્રશ્નકર્તા : અને જેટલા અંશે દોષનું ઓછા થવાપણું થયું, એટલા અંશે દ્રષ્ટિ સ્વચ્છ થાય ખરી કે ? દાદાશ્રી : હા, એટલું ચોખ્ખું થાય. પોતાની ગટર ગંધાય ને બીજાની ગટર ધોવા જાયદોષો તો બધાની ગટરો છે. આ બહારની ગટરો આપણે ઉઘાડતાં નથી. આ નાના બાબાનેય એ અનુભવ હોય. આ રસોડું રાખ્યું તે ગટર તો હોવી જ જોઈએને ! પણ તે ગટરને ઉઘાડવી નહીં. કોઈનામાં અમુક દોષ હોય, કોઈ ચિઢાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, તે જોવું, તેને ગટર ઉઘાડી કહેવાય. એના કરતાં ગુણો જોવા તે સારું. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી છે. પાણી ભરાઈ ગયું હોય તો પોતાની ગટર સાફ કરવી. આ તો ગટર ભરાઈ જાય છે, પણ સમજાતું નથી ! અને સમજાય છતાં કરે શું ? છેલ્લે કોઠે પડી જાય છે એ. એનાથી તો આ રોગો ઊભા થયા છે, શાસ્ત્રો વાંચીને ગા ગા કરે કે ‘કોઈની નિંદા ના કરશો’ પણ નિંદા તો ચાલુ જ હોય. કોઈનું જરાય અવળું બોલ્યો કે તેટલું નુકસાન થયું જ ! આ બહારની ગટરોનું ઢાંકણ કોઈ ઉઘાડતું નથી. પણ લોકોની ગટરોનાં ઢાંકણ ઉઘાડ ઉઘાડ કરે છે. એક માણસ સંડાસના બારણાને લાત માર માર કરતો હતો. મેં કહ્યું, ‘કેમ લાતો મારો છો !’ ત્યારે કહે કે, ખૂબ સાફ કરું છું તોય ગંધાય છે.’ બોલો, (પા.૫૮)હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય ! જાજરૂના બારણાને લાતો મારીએ તોય ગંધાય છે, તેમાં ભૂલ કોની ? પ્રશ્નકર્તા : લાતો મારનારની. દાદાશ્રી : કેવડી મોટી ભૂલ કહેવાયને ? કંઈ દરવાજાનો દોષ છે બિચારાનો ? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે. પણ તે સંડાસના બારણાંને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાંય તૂટી જાય છે. તમને તો શું કહીએ છીએ કે આ દેહનાં જે જે દોષ હોય, મનનાં દોષ હોય એટલા તમને દેખાયા એટલે તમે છૂટ્યા. બીજું તમારે દોષો કાઢવાને માટે માથાકૂટ કરવાની નથી, કે સંડાસનું બારણું ખખડાય ખખડાય કરવાની જરૂર નથી. સંડાસના બારણાને લાતો મારીએ તો એ ગંધાતું મટી જાય ? કેમ ના મટે ? એણે લાત મારી તોય ન મટે ? બૂમ મારીએ તો ? પ્રશ્નકર્તા : ના મટે. દાદાશ્રી : સંડાસને કશું અસર ના થાયને ? એવું આ લોકો માથાકૂટ કરે છે, વગર કામની માથાકૂટ ! તેમ આ નવટાંકેય દળ્યું નથી ને પહેલાં જૂનું દળેલું હતું તે ઉડાડી મૂક્યું, ભૈડી ભૈડીને ! તે ભૈડેલું ઊડી જાય ને બધું ! નવું દળેલું તો ક્યાં ગયું, પણ જૂનું દળેલું છે તે ફરી ભૈડવા લીધું તે ઉડાડી મૂક્યું ! કશું હાથમાં જ રહ્યું નથી. આ મનુષ્યપણું દેખાય છે ને તે બે પગને બદલે ચાર પગ થાય એવું છે. બોલો, કેટલો નફો થયો ? દ્રષ્ટિ અભિપ્રાય રહિતદોષ જોવાનું બંધ કરી દોને ! પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ (વધારે પડતા મૂર્ખ) ના લાગીએ ? દાદાશ્રી : એટલે દોષ જોવાથી સફળ થઈએ આપણે ? (પા.૫૯)પ્રશ્નકર્તા : દોષ જોવાથી નહીં, પણ ડીસ્ટીંગ્શન કરવાનું (તફાવત જોવાનો) કે આ માણસ આવો છે, આ માણસ આવો છે. દાદાશ્રી : ના, એનાથી તો જોખમ છે ને બધું. એ પ્રિજ્યુડીશ (પૂર્વગ્રહ) કહેવાય. પ્રિજ્યુડીશ કોઈની પર રખાય નહીં. ગઈકાલે કોટમાંથી ચોરી ગયો હોય તોય આજે ચોરી જશે એવું આપણાથી ના રખાય. પણ ફક્ત આપણે કોટ એકલો ઠેકાણે મૂકવો જોઈએ. સાવચેતી લેવાની આપણે. ગઈકાલે કોટ બહાર મૂક્યો તો આજ ઠેકાણે મૂકી દેવો પણ પ્રિજ્યુડીશ ના રખાય. તેથી તો આ દુઃખો છે ને, નહીં તો વર્લ્ડમાં દુઃખો કેમ હોય ? અને ભગવાન દુઃખ આપતા નથી બધા તમારા જ ઊભાં કરેલાં દુઃખો છે ને તે તમને પજવે છે. તેમાં ભગવાન શું કરે ? કોઈની પર પ્રિજ્યુડીશ રાખશો નહીં. કોઈનો દોષ જોશો નહીં. એ જો સમજી જશો તો ઉકેલ આવી જશે. તમે પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો. માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો અને અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. મારે કોઈ પણ માણસ જોડે સહેજેય અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી હું એના માટે બીજો અભિપ્રાય બદલતો નથી. સંજોગાનુસાર કોઈ માણસ ચોરી કરતો હોય તે હું જાતે જોઉં, તોય એને હું ચોર કહેતો નથી. કારણ કે એ સંજોગાનુસાર છે. જગતના લોકો તો જે પકડાયો તેને ચોર કહે છે. આ સંજોગાનુસારનો ચોર હતો કે કાયમનો ચોર હતો, એવી કંઈ જગતને પડેલી નથી. હું તો કાયમના ચોરને ચોર કહું છું. અત્યાર સુધી કોઈ પણ માણસનો અભિપ્રાય મેં બદલ્યો નથી. ‘વ્યવહાર આત્મા’ સંજોગાધીન છે ને તે ‘નિશ્ચય આત્મા’થી એકતા છે. અમારે આખા વર્લ્ડ જોડે મતભેદ નથી. પ્રશ્નકર્તા : એ તો હોય નહીં. કારણ કે આપને તો કોઈ માણસ દોષિત લાગતો નથી ને, નિશ્ચયથી. દાદાશ્રી : દોષિત લાગે નહીં. કારણ કે ખરેખર એવું હોતું નથી. આ (પા.૬૦)જે દોષિત લાગે છેને, તે દોષિત દ્રષ્ટિથી દોષિત લાગે છે ! જો તમારી દ્રષ્ટિ નિર્દોષ થાય તો દોષિત લાગે જ નહીં કોઈ ! આમ અંત આવે ગૂંચવાડાઓનોગૂંચવાડાનો ‘એન્ડ’ ક્યારે આવે ? રિલેટિવ અને રિયલ આ બે જ વસ્તુ જગતમાં છે. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને રિયલ ઈઝ ધી પરમેનન્ટ. હવે પરમેનન્ટ ભાગ કેટલો અને ટેમ્પરરી ભાગ કેટલો, એની વચ્ચે લાઈન ઑફ ડીમાર્કેશન નાખી આપે, તો ગૂંચવાડો બંધ થાય, નહીં તો ગૂંચવાડો બંધ થાય નહીં. ચોવીસેય તીર્થંકરોએ એ ડીમાર્કેશન લાઈન નાખેલી. કુંદકુંદાચાર્યે આ લાઈન નાખેલી અને અત્યારે આપણે આ ડીમાર્કેશન લાઈન નાખી દઈએ છીએ કે તરત એને રાગે પડી જાય છે. રિલેટિવ અને રિયલ, આ બેના ગૂંચવાડા વચ્ચે લાઈન ઑફ ડીમાર્કેશન નાખી આપીએ કે આ ભાગ તારો અને આ પારકો ભાગ છે. હવે પારકા ભાગને ‘મારો’ માનીશ નહીં, એવું એને સમજાવી દઈએ કે એનો ઉકેલ આવી ગયો. આ તો પારકો માલ બથાડી પડ્યો છે. તેની વઢવાડો ચાલે છે, ઝઘડાં જ ચાલ્યા કરે છે. ગૂંચવાડો એટલે ઝઘડાં ચાલ્યા જ કરે અને એકુંય પોતાની ભૂલ દેખાય નહીં, આમ તો છે આખું ભૂલવાળું જ ખાતું ! એટલે રિલેટિવ અને રિયલનું જ્ઞાન થયા પછી પોતાની જ ભૂલો દેખાય. જ્યાં જુઓ ત્યાં પોતાની જ ભૂલો દેખાય અને છે જ પોતાની ભૂલ. પોતાની ભૂલથી આ જગત ઊભું રહ્યું છે, આ કોઈકની ભૂલથી જગત ઊભું રહ્યું નથી. પોતાની ભૂલ ઊડી જાય કે પછી એ સિદ્ધગતિમાં જ ચાલ્યો જાય ! જ્યાં છૂટ્યું માલિકીપણું સર્વસ્વપણેએટલે જેટલાં આપણને પોતાનાં દોષ દેખાય, એટલા દોષ મહીંથી ઓછાં થાય, એમ ઓછાં થતાં થતાં જ્યારે દોષનો કોથળો પૂરો થઈ રહે, ત્યારે તમે નિર્દોષ થાવ. ત્યારે છે તે પોતાનાં સ્વરૂપમાં આવી ગયા કહેવાય. હવે એ ક્યારે પત્તો પડે ? અનંત અવતારથી ભટક ભટક કરીએ છીએ, (પા.૬૧)દોષ તો વધતા જ ચાલ્યા છે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી જ બધું કામ થઈ જાય. કારણ કે પોતે મોક્ષદાતા છે. મોક્ષનું દાન આપવા આવેલા છે. એમને કશું જોઈતું નથી. સંપૂર્ણ જાગૃતિ વર્તે, ત્યારે પોતાની એક પણ ભૂલ ના થાય. એક પણ ભૂલ થાય એ અજાગૃતિ છે. દોષ ખાલી કર્યા વગર નિર્દોષ ના થવાય. અને નિર્દોષ વગર મુક્તિ નહીં. જ્યારે દોષરહિત થશો ત્યારે નિર્દોષ થશો. નહીં તો પછી થોડા-ઘણાં બાકી હશે તો આ માલિકીપણું છોડી દેશો એટલે નિર્દોષ થશો. આ દેહ મારો નહીં, આ મન મારું નહીં, આ વાણી મારી નહીં, તો તમે નિર્દોષ થઈ શકશો. પણ અત્યારે તો તમે માલિક ખરાને ? ટાઈટલ હઉ (માલિકી) છે કે ? મેં તો ટાઈટલ કેટલા વખતથી ફાડી નાખેલું છે ! છવ્વીસ વર્ષથી એક સેકન્ડ પણ આ દેહનો હું માલિક થયો નથી, આ વાણીનો માલિક થયો નથી, મનનો માલિક થયો નથી. (પા.૬૨)આત્મદ્રષ્ટિ થયા પછી...ગરૂડ આવે, ભાગે સાપશાસ્ત્રકારોએ એક દાખલો આપ્યો છે કે ભઈ, આ ચંદનના જંગલમાં નર્યા સાપ સાપ સાપ હોય. પેલા ઝાડને વીંટાઈને બધા બેસી જ રહ્યા હોય ઠંડકમાં. ચંદનના ઝાડને વીંટાઈને એના જંગલમાં. પણ એક ગરૂડ આવે કે બધું ભાગમ્ભાગ, ભાગમ્ભાગ થાય એવી રીતે આ મેં ગરૂડ મૂકી આપ્યું છે, બધા દોષો નાસી જશે. શુદ્ધાત્મારૂપી ગરૂડ બેઠું છે. એટલે બધા દોષો નાસી જવાના. અને દાદા ભગવાન માથે છે પછી એને શો ભય ! મારે માથે ‘દાદા ભગવાન’ છે તો ‘મને’ આટલી બધી હિંમત છે, તો તમને હિંમત ના આવે ? પ્રશ્નકર્તા : હિંમત તો પૂરેપૂરી આવે ! નિષ્પક્ષપાતી દ્રષ્ટિદાદાશ્રી : ‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે ‘હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યોડમરો છું’ એમ રહે અને ‘સ્વરૂપના જ્ઞાન’ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયાં, મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય એ પોતે ‘પરમાત્મા સ્વરૂપ’ થઈ ગયો ! વીર ભગવાન થઈ ગયો !!! ‘આ’ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. (પા.૬૩)કારણ કે ‘હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું’ એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે ‘આ’ ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. તેમ તેમ પ્રગટે આતમ ઉજાસપ્રશ્નકર્તા : આત્માનો અધ્યાસ પડે પછી ભૂલો એની મેળે ઓછી થતી જાય ? દાદાશ્રી : ચોક્કસ, ભૂલો ઓછી થાય એનું નામ જ આત્માનો અધ્યાસ. દેહાધ્યાસ જો જાય, તેમ તેમ આ ઉત્પન્ન થાય. પહેલાં તો સમકિત થાય તોય બધા દોષ ના દેખાય એવું સમકિત હોય છે. પછી જાગૃતિ વધતી જાય, તેમ દોષ પોતાના દેખાતા જાય ! પોતાના દોષ દેખાય એ તો ક્ષાયક સમકિત કહેવાય. એ ક્ષાયક સમકિત લોકોને અહીં આગળ મફતમાં ભેલાડીએ છીએ. એકલું મફતમાં નહીં, ઊલટાં આપણે કહીએ કે આવજો, ચા પાઈએ તોય નથી આવતાં જુઓને, અજાયબી છે ને ! આ ભૂલો દેખાતી થઈને, એટલે ‘હે ચંદુભાઈ ! તમે અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો’ કહીએ આપણે. આ જગતમાં પોતાની ભૂલ દેખાય નહીં. જેને પોતાની ભૂલ પોતાને દેખાય, એનું નામ સમકિત. આત્મા થાય એટલે દોષ જ દેખાય ને ! દોષ દેખાયો માટે આપણે આત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, નહીં તો દોષ દેખાય નહીં. જેટલાં દોષ દેખાય એટલો આત્મા પ્રગટ થઈ ગયો. (પા.૬૪)આ તો જાગૃતિ જ નથી. એક પણ માણસ એવો નથી કે જેને જાગૃતિ હોય. આ ભાઈને જ્યાં સુધી ‘જ્ઞાન’ આપ્યું નથી, ત્યાં સુધી એમનામાં કોઈ પણ જાતની જાગૃતિ ના હોય. જ્ઞાન આપ્યા પછી એનામાં જાગૃતિ ઉત્પન્ન થાય. પછી ભૂલ થાય તો જાગૃતિને લીધે ભૂલો દેખાય. વર્લ્ડમાં કોઈને જાગૃતિ જ ના હોય અને પોતાની એક બે ભૂલો દેખાય. બીજી ભૂલ દેખાય નહીં. આ તો જ્ઞાન પછી તમને તમારી તો બધી જ ભૂલો દેખાય, એ આ જાગૃતિને લઈને ! ગુહ્યતમ વિજ્ઞાનપ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ? દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ દાદાને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને પોતાની ભૂલ જ જોવી છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના. જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો ? પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષો ના જોવા હોય છતાં જોવાઈ જાય અને ભૂતાં વળગે તો શું કરવું ? દાદાશ્રી : જે ગૂંચવે છે એ બુદ્ધિ છે, એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણાં કાળની છે અને પાછો ટેકો છે. તેથી એ જતી નથી. જો એને કહ્યું કે મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય છે, તેને કહ્યું કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવડાવીએ તો ચાલે ? તેમ બુદ્ધિને એકેય વખત ધક્કા ના ખવડાવીએ. આ બુદ્ધિને તો તદ્દન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે. જ્યારે સમ્યક્ બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઈ જાય છે. પ્રશ્નકર્તા : દોષ છૂટતાં નથી તો શું કરવું ? દાદાશ્રી : દોષ છૂટે નહીં. પણ એને આપણી વસ્તુ ન હોય એમ (પા.૬૫)કહીએ તો છૂટે. પ્રશ્નકર્તા : પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું ? દાદાશ્રી : આ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે ? છતાં એ જ્ઞેય ને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ, તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઈએ. ટેકો ના મળે તો એને પડ્યે જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. આ જગત આધારથી ઊભું રહ્યું છે. નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતાં આવડે નહીં ને ! એ તો જ્ઞાનીઓના જ ખેલ ! આ જગત તો અનંત ‘ગુહ્ય’વાળું, એમાં ‘ગુહ્યમાં ગુહ્ય’ ભાગને શી રીતે સમજે ? દોષો હોય પડોવાળાએ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય. જેટલાં જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીના પડો હોય છેને, તેમ દોષો પણ પડોવાળા હોય છે. તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઉખડતાં જાય અને જ્યારે એના બધા જ પડો ઉખડી જાય ત્યારે એ દોષ જડ મૂળથી કાયમને માટે વિદાય લઈ લે. કેટલાંક દોષો એક પડવાળા હોય છે. બીજું પડ જ તેમને હોતું નથી તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે ? તો કહે કે ભાઈ હા, પણ એનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેઠ છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતાં જાય. પ્રશ્નકર્તા : એક બાજુ આપણે કહીએ છીએ કે જ્ઞાન ક્રિયાકારી છે અને એક બાજુ કંઈ ભૂલ થઈ જાય છે તો એને નિકાલી ભાવ કહીએ છીએ, એ એડજસ્ટમેન્ટ કહેવાય ને ? દાદાશ્રી : એ નિકાલી બાબતો જ છે બધી. આ બધી બાબત જ નિકાલી (પા.૬૬)છે. તે નથી ગ્રહણીય ને નથી ત્યાગ કરવાની. ત્યાગમાં તિરસ્કાર હોય, દ્વેષ હોય અને ગ્રહણમાં રાગ હોય અને આ તો નિકાલી બાબતો બધી ! અને તમારે દોષ છે એવું તમને કેમ દેખાય છે ! એનો પુરાવો શો ? ત્યારે કહે છે, ચંદુભાઈ ગુસ્સે થયા તે તમને ના ગમે. એ તમને ના ગમે એ તમને ચંદુભાઈનો દોષ દેખાયો. એવું આખો દહાડો ના ગમતું હોય એ બધા દોષ તમને દેખાવા માંડ્યા. ગુનેગારી, પાપ-પુણ્યનીઆ જગત ‘વ્યવસ્થિત’ છે. તે ‘વ્યવસ્થિત શક્તિ’, જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા સમભાવમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તોય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી ! આ ગુનેગારી બે પ્રકારની છે. અમને ફૂલો ચઢાવે તેય ગુનેગારી અને પથરા પડે તેય ગુનેગારી ! ફૂલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતા ભાવે નિકાલ કરવાનો, એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય ? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઈ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે. ‘જ્ઞાની પુરુષે’ ગૂંચો પાડેલી નહીં. તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં ‘જ્ઞાની પુરુષ’ મળી ગયા છે. માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે. એટલે આપણે ભૂલ તો ભાંગવી પડશે ને ! (પા.૬૭)પ્રશ્નકર્તા : પણ ભૂલ શું શું છે એ બધી દેખાવી જોઈએ ને ! દાદાશ્રી : એ તો ધીમે ધીમે દેખાતી જશે. તમને આ વાત કરું છું તેમ તેમ દેખાશે. તમારી ભૂલ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થશે. તમારી ઇચ્છા થશે કે મારે હવે ભૂલ ખોળી કાઢવી છે તો જડ્યા વગર રહે નહીં. હવે જે તમારા ઉદય છેને, તે ઉદયમાં જે દોષ છે તે રીઝર્વોયર (સરોવર)નો માલ છે એટલે નવું આવક નથી એમાં અને જાવક છે ચાલુ. તે પહેલાં જોશબંધ હોય, બે-પાંચ વરસ પછી ખાલી થઈ જાય. પછી બૂમ પાડો તોય ના પડે અને અમુક વર્ષો પછી તો આની ઓર જ દશા આવશે. અને તે અમે સેફસાઈડ કરી આપેલું છે. તમારે એટલું લક્ષમાં રહેવું જોઈએ કે સેફસાઈડ કરેલું યાદ ન આવવું જોઈએ. સુટેવો ને કુટેવો બેઉ સેફસાઈડ નથી કરી આપણે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પછી દાદા, મને આમ કેમ થાય છે ? આજે ગુસ્સો થઈ ગયો હતો. અરે, ગુસ્સે થઈ ગયો, તેને જો ને ! તેં જાણ્યું છેને ? પહેલાં જાણતા નહોતા, પહેલાં તો મેં જ કર્યું એમ કહેતા હતા. તે હવે જુદું પડ્યું ને ? પ્રશ્નકર્તા : હા. સ્વરૂપ પ્રાપ્તિ પછી...દાદાશ્રી : આ સાયન્સ છે. સાયન્સ એટલે સાયન્સ. પચ્ચીસ પ્રકારના મોહ, ચાર્જમોહ મેં બિલકુલ બંધ કરી દીધાં છે. અને ડિસ્ચાર્જ મોહ તો રહેવાનો જ અને ડિસ્ચાર્જ મોહ તો ભગવાન મહાવીરને પણ હતો. એમના ગજા પ્રમાણે, કારણ કે એ ખપાવીને ગયેલા હોય અને આપણે ખપાવ્યા વગરના હોય. એ દસના દેવાદાર હોય અને આપણે લાખના દેવાદાર હોઈએ. એમણે દેવાનો નિકાલ કરી નાખેલો અને તમેય નિકાલ કરી નાખશો. બસ, દેવાનો નિકાલ જ કરવા બેઠા ત્યાં આગળ આપણે સમભાવે નિકાલ કરીએ છીએને ? હા, નિકાલ જ કરી નાખવાનો છે. (પા.૬૮)સુટેવો ને કુટેવો બેઉ ભ્રાંતિ છે. આપણે ભ્રાંતિની બહાર નીકળ્યા હવે. જે માલ આપણો ન હોય એને સંઘરીએ કેમ કરીને ? આપણે દોષને જોવાના. દોષ કેટલાં દેખાય છે તે જાણવું આપણે. દોષને દોષ જુઓ અને ગુણને ગુણ જુઓ. એટલે શુભને ગુણ કહ્યો અને અશુભને દોષ કહ્યો. અને તે આત્મભાષામાં નથી. આત્મભાષામાં દોષ કે ગુણ કશું છે જ નહીં. આ લોકભાષાની વાત છે, ભ્રાંતિ ભાષાની વાત છે. આત્મભાષામાં તો દોષ નામ જ નથી કશું. મહાવીર ભગવાનને કોઈ દોષિત દેખાતો જ નહોતો. ગજવું કાપનારેય દોષિત નહોતો દેખાતો. ખીલા માર્યા તેનો દોષ નહોતો દેખાયો. ઊલટું એના પર કરુણા આવી કે આનું શું થશે બિચારાનું. જોખમદારી તો આવી ને પોતાનું સ્વરૂપ જાણતો નથી. જો સ્વરૂપ જાણતો હોત ને માર્યું હોત તો તો ભગવાનને એમની પર કરુણા ના આવત કે, એ તો જ્ઞાની છે. પણ સ્વરૂપને જાણતો નથી એટલે પોતે કર્તા થયો અને સ્વરૂપને જો જાણતો હોય તો તે અકર્તા હતો, એટલે વાંધો નહોતો. એટલે વાત ટૂંકમાં સમજી લેવાની છે. લોંગકટ (લાંબો રસ્તો) છે જ નહીં, આ શોર્ટકટ (ટૂંકો રસ્તો) વસ્તુ છે. તમને આત્માની જાગૃતિ આવી ગઈ, શરૂઆત થઈ ગઈ, એ બહુ મોટામાં મોટું કાર્ય થઈ ગયું. એક ક્ષણવાર આત્મા છું એવું લક્ષ ના બેસે કોઈને, તો લક્ષ બેસે એ તો મોટામાં મોટી વસ્તુ થઈ. તે દહાડે પાપોય ધોવાઈ જાય છે. તેથી તમને એ લક્ષમાં રહ્યા કરે છે, નિરંતર ચૂકાતું નથી. હવે કર્મનો ઉદય જરા ભારે હોયને તે તમને મૂંઝવે જરા, સફોકેશન કરે. તે ઘડીએ તમને નડતું નથી. તમારો આત્મા જતો રહ્યો નથી. પણ તે ઘડીએ આત્માનું સુખ આવતું બંધ થાય અને અમને સુખ આવતું બંધ ના થાય, અમને તો નિરંતર રહ્યા કરે. ઊભરાયા કરે ઊલટું, જોડેવાળાનેય સુખ લાગે. અમારી જોડે બેઠા હોયને તેને સુખ લાગે. સુખ ઊભરાયા જ કરે એટલું આત્માનું સુખ છે, આ દેહ હોવા છતાંય, આ કળિયુગ હોવા છતાંય ! હવે ભૂલ થાય છે તે દેખાય છે, ખબર પડે છે બધી ? (પા.૬૯)અને જાગૃતિથી બધા પોતાના દોષો, બધું જ દેખાય. સામાના દોષ કાઢવા એનું નામ જાગૃતિ નથી. એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલ દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ. એટલે થઈ ગયા જ્ઞાનીપ્રશ્નકર્તા : જેટલા વિભાવ થાય એ બધા દોષ ગણાય ને ? દાદાશ્રી : હવે વિભાવ થાય જ નહીં. હવે જે દોષ દેખાય છેને, તે માનસિક દોષ દેખાય છે. મનઃપર્યવને લઈને, માનસિક દોષો, બુદ્ધિના દોષો, અહંકારના દોષો એટલે અંતઃકરણના બધા દોષો તમને દેખાય. ચંદુભાઈના દોષ તમને દેખાય કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ચંદુભાઈના દોષ તમને દેખાયા કે તમે થઈ ગયા જ્ઞાની. આ તો તમે મને હજી દસેક કલાક મળ્યા હશો. આ તો મેં તમારા હાથમાં, જે હીરાની કિંમત ના થાય એવું તમારા હાથમાં મૂકેલું છે. પણ એ હીરો બાળકના હાથમાં આવવાથી એની વેલ્યુ જ નથી ! દીસે ધોધ દોષ તણા...ક્ષણે ક્ષણે દોષ દેખાય છે ને ? પ્રશ્નકર્તા : ક્ષણે ક્ષણે તો નહીં, થોડા થોડા દેખાય છે. દાદાશ્રી : હજી તો ક્ષણે ક્ષણે દેખાશે. હજુ તો બહુ દોષ છે. પાર વગરનાં છે, પણ દેખાતા નથી હજુ. આ કોઈને દસ દોષ પોતાના ના દેખાય. બે-ત્રણ હશે એમ બોલે, કારણ કે દોષ દેખાય ત્યારથી તો મોક્ષે જવાની તૈયારી થઈ. તે દોષનો ધોધ દેખાય છેને, બધો. હવે જેટલા દેખાય એટલા ગયા. પાછાં (પા.૭૦)બીજે દહાડે એટલા ઉત્પન્ન થયા કરશે. નિરંતર વહ્યા જ કરશે. જ્યાં સુધી નિર્દોષ ના બનાવે ત્યાં સુધી વહ્યા કરશે. હવે હલકાં થવાશે ! દોષો ધોધબંધ દેખાય એવું કરો કશું. મહેનત પુષ્કળ છે ! તમને જે તમારું સ્વરૂપ છે તે સ્વરૂપ અને ચંદુલાલ જુદા. ચંદુલાલનો ખભો થાબડો ! ચંદુલાલ સારું કરીને આવ્યા હોય તે દહાડે કહીએ, તમે તો આટલી ઉંમરે સારો લાભ ઉઠાવ્યો, તમે છૂટશો તો અમને છોડશો. તમે જ્યાં સુધી વળગેલા હશો ત્યાં સુધી અમારો ઉકેલ નહીં આવે. માટે આપણે કહેવું કે ‘વહેલા પરવારીને સત્સંગમાં જાવ’. ‘ચંદુભાઈ આમ કરો, તેમ કરો’, એવું ઊલટું તમારે કહેવાનું. તમે તો ઉપરી થયા અને ‘છોકરાં જોડે આટલું હાય હાય શું કરો છો ?’ એમ તમારે કહેવાનું. કયા અવતારમાં છોકરાં નહોતાં. કૂતરા, બિલાડીમાં છોકરાં વગર તો એકુંય અવતાર ગયો નથી ને ? બળ્યા, ન્હોય સાચાં છોકરાં ! આ તો લૌકિક વસ્તુ છે. આ તો કંઈ સાચું છે ? આ તો રિલેટિવ છે. આ દૂધી બૂમો પાડે છે, મારાં છોકરાં કેટલાં ? સો દૂધીયાં બેઠાં હોય તો સો યે તારાં છોકરાં ! પાને પાને દૂધીયું બેસે તેમ આ લોકોને દોઢ-દોઢ વર્ષે, બબ્બે વર્ષે એક-એક દૂધીયું બેસ્યા કરે !!! આ દૂધીયામાંય જીવ રહ્યો છે ને આમાંય જીવ રહેલો છે. પેલામાં એકેન્દ્રિય જીવ રહેલો છે ને આમાં પંચેન્દ્રિય જીવ છે. પણ જીવ તો બન્ને જગ્યાએ રહેલો છે ને ! જીવ તો એવડો ને એવડો જ છે ને ! એટલે પોતાના દોષ દેખાય છે ને ? ચંદુભાઈને કહેવાયેય ખરું કે ‘ચંદુભાઈ, આમ શા હારુ કરો છો ? અમે તમારો છૂટકો કરવા માગીએ છીએ, તમારો થશે તો અમારો થશે.’ તે ચંદુભાઈ શુદ્ધ થશે ત્યારે આપણો છૂટકારો થશે. એટલે આપણે મહીં પોતાને જ કહેવું કે ‘ચંદુભાઈ, તમારો જ દોષ છે, ત્યારે જ આ ભાંજગડ ઊભી થઈ ને આવાં તમને ભેગા થયા, નહીં તો આવાં ભેગા થતાં હશે ?! નહીં તો આમ ફૂલાં ચઢાવે એવાં માણસ ભેગા થાય. જુઓને, મને ફૂલા ચઢાવે એવા માણસ ભેગા નથી થતાં ? આપને સમજાયુંને ? (પા.૭૧)ઘરમાં ટોકાય કઈ ભૂલને ?જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, ‘આમ કરવા જેવું છે.’ તો એ પેલી કહેશે, ‘સારું થયું મને કહ્યું.’ ઉપકાર માને. ‘ચામાં ખાંડ નથી’, કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશેને ? એ આપણને કહે ઉલટી, કે તમે ખાંડ માંગી નહીં ?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતાં નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો ? પ્રશ્નકર્તા : દરરોજ કાઢે. દાદાશ્રી : બાપની, માની, છોકરાની, બધાંની ભૂલો કાઢે મૂઓ. પોતાની એકલાની જ ના કાઢે ! કેવો ડાહ્યો ! અક્કલવાળો ! એટલે આવી વાંકી જાત છે આ. હવે ડાહ્યા થઈ જજો એટલે અતિક્રમણ નહીં કરવાનું. કોઈ વખત આમ છાંટો ઉડ્યો એટલે આપણે તરત જાણવું કે આ ડાઘ પડ્યો એટલે તરત ધોઈ નાખવું. ભૂલ તો થાય, ના થાય એવું નહીં, પણ ભૂલ ધોઈ નાખવી એ આપણું કામ. પ્રશ્નકર્તા : પણ ડાઘ દેખાય એવી દ્રષ્ટિ મળવી જોઈએ. દાદાશ્રી : એ આપણને મળી છે. બીજા લોકોને તો મળી જ ના હોય ને આપણને તો મળી છે ને કે આ ભૂલ થઈ, આપણી ભૂલ ખબર પડે. આપણી જાગૃતિ એવી છે કે ભૂલો બધી દેખાડે. થોડી થોડી દેખાય, જેમ જેમ પડળ ખસતાં જાય તેમ તેમ દેખાતાં જાય. જ્યારે ઘરના માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં પ્રતિક્રમણ થાય. (પા.૭૨)આમ થાય કર્મો ચોખ્ખાંપ્રશ્નકર્તા : મહાત્માઓનું એવું સ્ટેજ ક્યારે આવશે કે પ્રતિક્રમણ કરવાના જ ઊડી જશે ? દાદાશ્રી : એટેક કરવાનું ભૂલી ગયો એટલે પ્રતિક્રમણ કરવાનું ભૂલી જશે. પ્રશ્નકર્તા : જૂનાં દોષોનાં ક્યાં સુધી પ્રતિક્રમણ કરવાનાં ? દાદાશ્રી : દોષો હોય ત્યાં સુધી અને આપણા દોષને લઈને સામાને દુઃખ થાય એવું હોય તો જ કહેવાનું, ‘ચંદુલાલ એના પ્રતિક્રમણ કરો’. નહીં તો કરવાની જરૂર નહીં. પ્રશ્નકર્તા : આ જન્મમાં એવાં દોષો કર્યા ના હોય, પરંતુ ભૂતકાળમાં પહેલાના જન્મમાં એવા દોષો કર્યા હોય કે જેના પ્રતિક્રમણ કરી એમાંથી છૂટી જવું હોય તો કઈ રીતે કરવું ? ક્યાં સુધી કરવું ? દાદાશ્રી : ગયા અવતારમાં દોષો થયેલા તેની શી રીતે ખબર પડે આપણને ? જે ક્લેઈમ કરતો આવે તેનું નિવારણ થાય. ક્લેઈમ જ ના કરતાં હોય તો ? એટલે ક્લેઈમ કરતો આવે તેનું પ્રતિક્રમણ કરવું. બીજા કોઈને લેવા-દેવા નથી. કોઈ મનમાં યાદ આવ્યા કરતું હોય, જેના તરફ મન બગડ્યા કરતું હોય, તેના પ્રતિક્રમણ કરવા. જગત આખું નિર્દોષ છે જ પણ નિર્દોષ દેખાતું નથી, એનું શું કારણ ? એ આપણા એટેક(વાળા) સ્વભાવને જ લઈને. આપણને ગાળ ભાંડે તેય નિર્દોષ છે, માર મારે તેય નિર્દોષ છે. નુકસાન કરે તેય નિર્દોષ છે. કારણ કે આપણો હિસાબ જ છે આ બધો. આપણો હિસાબ આપણને એ પાછો આપે છે. તે આપણે પાછું ફરી એને આપીએ તે ફરી નવો હિસાબ બાંધીએ છીએ. એટલે આપણે ‘વ્યવસ્થિત’ માનીએ એટલે બસ. કહી દેવાનું કે ‘લો, હિસાબ ચોખ્ખો ચૂકતે થઈ ગયો.’ નિર્દોષ જોશે તો મોક્ષ થશે. દોષિત જોયો એટલે પછી તમે આત્મા જોયો જ નથી. સામાનામાં તમે જો આત્મા જુઓ તો એ દોષિત નથી. (પા.૭૩)ભાળો સામાને પણ અકર્તાતમે કશું બોલ્યા, તે પેલાને દોષ દેખાય તો એનો ફાયદો શું થાય ? પ્રશ્નકર્તા : ફાયદો શાનો થાય ? નુકસાન જ થાયને ! દાદાશ્રી : કયા જ્ઞાનના આધારે એ દોષ જુએ છે ? પ્રશ્નકર્તા : એમાં જ્ઞાન ક્યાં આવ્યું ? એ તો અજ્ઞાનતાને લઈને દોષ જુએ છેને ? દાદાશ્રી : હા, પણ એણે જ્ઞાન લીધેલું હોય છતાંય દોષ જુએ છે તો ? એ પોતાનું જ્ઞાન જ કાચું કરે છે. પોતે કર્તા નથી ને સામાને કર્તા જુએ છે. એ પોતે જ કર્તા થયા બરાબર છે. સામાને કંઈક અંશે કર્તા જુએ એટલે પોતે કાચો પડી ગયો. એ આપણું જ્ઞાન કહે છે. પછી પ્રકૃતિ ભલે વઢમ્વઢા કરે પણ કર્તા ના જોવો. પ્રકૃતિ તો વઢીય પડે. પ્રશ્નકર્તા : કેટલીક વખત બેહદ વઢી પડે છે એ શું ? દાદાશ્રી : બેહદ ? અરે, એ તો સારું, મારંમાર ના કરે એટલું સારું કહેવાય. નહીં તો એથીએ આગળ જાય, બંદૂકો લઈને ફરી વળે, પ્રકૃતિ તો ! હા, તે બધુંય બને, મહીં અંદર જે માલ ભરેલો એવો નીકળે. પણ કર્તા જોયો તો એ આપણું જ્ઞાન કાચું પડી ગયું. કારણ કે આ બધું પરસત્તા જ કરે છે, તમારે એવું જ્ઞાન કાચું પડી જાય કે ? પ્રશ્નકર્તા : હા, ઘણી વખત પડી જાય. દાદાશ્રી : પ્રકૃતિ વઢે તેનો વાંધો નહીં, પણ ‘એને’ કર્તા ના જુએ. પ્રકૃતિ તો પોતે ડ્રોઇંગ કર્યું હોય ને, ગયે અવતાર ફિલમ પાડી, તે પ્રમાણે લઢે હઉ, મારંમાર હઉ કરે ! પણ આપણે કર્તા ના જોવો. આખા દહાડામાં કોઈનોય કશો ગુનો થતો હોતો નથી. જેટલાં કોઈકના દોષ દેખાય છે, તેટલી હજુ કચાશ ! બધો જ તમારો હિસાબ છે. (પા.૭૪)એ છે એકાંતે અહંકારીપોતાના દોષ દેખાય છે હવે ? પ્રશ્નકર્તા : હા, એ દેખાય છે. દાદાશ્રી : નહીં તો પોતે પોતાનો એક દોષ ના દેખાય. અહંકારી માણસ પોતાનો દોષ જોઈ શકે નહીં. ફક્ત મોટા મોટા દોષ જાણે ખરો કે આ બે-ચાર દોષ છે મારામાં, પણ બધા જોઈ શકે નહીં ! કોઈનો દોષ થાય તેમાં તીર્થંકરો હાથ ઘાલતા ન હતા. આ હાથ ઘાલે છે, તે એટલો અહંકાર છે. દોષિત જોનારો અહંકાર છે અને દોષેય અહંકાર છે. બેઉ અહંકાર છે ! પ્રશ્નકર્તા : અને દોષ કરનારો પણ ? દાદાશ્રી : એ પણ અહંકાર છે અને દોષિત જોનારોય અહંકાર છે. પ્રશ્નકર્તા : દોષ એ પણ અહંકાર એમ કેમ કહો છો ? દાદાશ્રી : એટલે કે દોષને કરનારો જ, બસ. છતાં દોષ કરનારો અહંકારી ના પણ હોય. આપણું જ્ઞાન લીધેલું હોય અને પાંચ આજ્ઞા બરોબર પાળતો હોય, એના દોષને દોષ ગણાતો નથી. કારણ કે ‘પોતે’ સામો પોતાના દોષ જોનાર હોય. પણ એમાં દોષ એ ભરેલો માલ છે, ‘તમારો’ દોષ નથી. એવું એ સાપેક્ષતા છે એમાં, એકાંતિક નથી. પણ દોષ જોનારો તો અહંકારી જ હોય. પ્રશ્નકર્તા : એટલે દાદા, દોષ કરનારો અહંકારી ન પણ હોય ? દાદાશ્રી : ના પણ હોય. પ્રશ્નકર્તા : દોષ જોનારો અહંકારી હોય જ. દાદાશ્રી : હોય જ એકાંતે. એકાંતે હોય જ. આ દુનિયામાં દોષ જોનારો (પા.૭૫)એકાંતે અહંકારી હોય જ. મહત્ત્વ છે ભૂલના ભાનનુંભૂલની તરત ખબર પડે તો ભૂલ કરે જ નહીંને ! પણ પછી ચોવીસ કલાક થાય તોય ના ખબર પડે. પ્રશ્નકર્તા : એ તો પેલું ભોગવટાનું પરિણામ આવેને, એટલે ખબર પડે. દાદાશ્રી : એ તો છ મહિને આવે પરિણામ, પોતાની જાતને કશું ખબર ના પડે. પ્રશ્નકર્તા : આમાં તો દાદા તરત ખ્યાલ આવેલો કે આવું થશે. આ ભાઈએ કહ્યું કે તરત ખબર પડી ગઈ કે લોચા વાળ્યા. દાદાશ્રી : ના, પણ આપણી પોતાની મેળે કશું ખબર ના પડે. પ્રશ્નકર્તા : આ જાતે જ ખબર પડી ગઈ. દાદાશ્રી : એ કહ્યું, એણે ચેતવ્યો એટલે પાછું જોયું તે પોતાની મેળે કોઈ કહે નહીં, નિમિત્ત બને નહીં. પ્રશ્નકર્તા : આ ભાઈએ કહ્યું ને પછી તરત જ મને સ્ટ્રાઈક થયું, કે આ ભૂલ થઈ. દાદાશ્રી : ભૂલ થઈ ખબર પડે છે ને ? ભૂલ થઈ તો સુધારે ને પણ ? ખબર પડી જાય તો, એ તો તરત ભાંગી નાખેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે સારું. ભૂલ તો બહાર થયા જ કરવાની. તને ખબર પડશે, તે ભાન થતું જશે. પોતાની મેળે ભાન થાય ભૂલનું. ત્યારે હું કહું કે આ જ્ઞાની ! ભૂલમાં જ ચાલ્યા કરે માણસ. ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે. પછી પોતાને જરા વેદન આવે ત્યાર પછી વિચારે કે સાલું આમ કેમ થાય (પા.૭૬)છે ? ત્યાર પછી ખબર પડે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે ! આ જ્ઞાન ને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ. પ્રશ્નકર્તા : પોતાની ભૂલ ખબર પડે પછી ભૂલ અટકે ખરી ? દાદાશ્રી : ના અટકે એનો સવાલ નથી. ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે, એ તો માફી જ છે. ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી. ના અટકે એનો સવાલ નથી. બેભાનપણાને માફી નથી. બેભાનપણાથી ભૂલ થાય છે. પ્રશ્નકર્તા : એવું બેભાનપણું કેટલીય વાર ઉત્પન્ન થયું હોય. બાકી કેટલીય બાજુ બેભાનપણું રહેતું હશે તો ત્યાં ભૂલો થયા કરતી હોય ને ? દાદાશ્રી : થયા જ કરેને પણ, થયા કરતી હોય નહીં, થયા જ કરે છે ! પ્રશ્નકર્તા : એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય, એવું શી રીતે બની શકે ? દાદાશ્રી : એ તો જાગૃતિ આવવી જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કર્યા કરવી. આખો દહાડો માફી માગવાની ટેવ જ પાડી દેવી. પાપ જ બંધાયા કરે છે. અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે. ત્યાં પુરુષાર્થ કે કૃપા ?પ્રશ્નકર્તા : ભૂલ દેખાય, એ તો પુરુષાર્થ જબરો કરવો પડે ? દાદાશ્રી : પુરુષાર્થ નહીં, કૃપા જોઈએ. પુરુષાર્થથી તો અહીં આગળ ઘણી દોડધામ કરે તોય કશું વળે નહીં. પુરુષાર્થની તો આમાં જરૂર જ નથી. એટલે અહીં તો કૃપા મેળવવાની ! એટલે શું કે દાદાને રાજી રાખવાના અને રાજી ક્યારે થાય ? એમની આજ્ઞામાં રહે તો. એ એટલું જ જુએ કે આ કેટલી આજ્ઞામાં રહે છે ? ફૂલના હાર લાવ્યો કે કશું બીજું કર્યું એ જુએ નહીં, હારનો (પા.૭૭)તો થોડોક લાભ મળે. એમાં સંસારી લાભ મળે ને આમાંય થોડો લાભ મળે ! બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ (જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી એવો યજ્ઞ) માંડવો પડશે અથવા સ્વ-પુરુષાર્થ કરવો પડશે. નહીં તો આમ તેમ દર્શન કરી જાવ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે. આપણી દ્રઢ ઇચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે તો તેમની કૃપા થકી આજ્ઞામાં રહેવાય. આજ્ઞા પાળે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. જ્ઞાનની મસ્તી કોને રહે કે જે બીજાને ઉપદેશ આપતો હોય. આ વિજ્ઞાન તો રોકડિયું છે, તરત ફળ આપનારું છે. તમે એક કલાક મારી આજ્ઞામાં રહો તો શું થાય ? સમાધિ થઈ જાય ! વીતરાગભાવે વિનમ્રતા ને કડકાઈપ્રશ્નકર્તા : સત્સંગમાં પેલી ફાઈલોનો સમભાવે નિકાલની વાત નીકળેલી, જો કે વિનમ્રતા દાખવીએ અને ચીકણી ફાઈલ વધારે ઉછળતી હોય તો ત્યાં વિનમ્રતા દેખાડવાની જરૂર નથી. ઊલટો એ વધારે અવળો ચાલે. દાદાશ્રી : એવી કંઈ જરૂર હોતી નથી પણ એ જવાબ કાઢતાં ના આવડે, એ લેવલ કાઢવું મુશ્કેલ છે. પ્રશ્નકર્તા : આ કેવી રીતે લેવલમાં રાખવું ? દાદાશ્રી : એ તો દરેક માણસ એમ જ કહે, સામાની જ ભૂલ કાઢેને ! ભૂલ પોતાની જ છે, પણ તે એમને મેં કહ્યુંને, કે વિનમ્રતા નહીં કરવાની. વીતરાગ ભાવે એની જોડે રહેવાનું. કઠણેય વીતરાગ ભાવ હોવો જોઈએ. પ્રશ્નકર્તા : પણ એ રહેવું મુશ્કેલ ને ? એ કઈ રીતે રહી શકાય ? દાદાશ્રી : સરસ રીતે રહી શકે. આપણો દોષ ના હોય તો બધુંય રહેવાય. આપણાં દોષ છે ત્યાં કશું રહેવાય નહીં. મૂળમાં દોષ જ આપણો હોય છે. જે બીજા ઉપર દોષ ઢોળવા ફરે છે એનો જ દોષ હોય છે. આ તો પોતાની સેફસાઈડ ખોળે છે ! (પા.૭૮)આ બીજાં તો આપણું જ પ્રતિબિંબ છે. કોઈ આપણને કશું કહે નહીં. આપણા જ ગુનાથી કહે છે. દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે અને તે તમારો ગુનો સમજાતો નથી એટલે પારકાંનો ગુનો જુઓ છો. અને પારકાંનો ગુનો જોવો એ મોટામાં મોટી અજ્ઞાનતા છે ! અમે આટલો વખત કહે કહે કરીએ છીએ કે આખું જગત નિર્દોષ છે ને પછી દોષ કાઢીએ તો મૂર્ખ ના કહેવાઈએ ? તને નથી લાગતું કે આ થિયરી વીતરાગની છે ? પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ વીતરાગની થિયરી ! દાદાશ્રી : પોતાના દોષ જોનારાં માણસ જીતીને ગયેલાં, મોક્ષે ચાલ્યા ગયેલા. પોતાના દોષ વગર કશું કોઈ કહે જ નહીં આપણને ! એટલે જાગૃત રહેજે. પ્રશ્નકર્તા : આપના શબ્દો તરત જ ક્રિયાકારી થઈને ઊભા રહેશે. દાદાશ્રી : આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય, આપણે જો મહીં ઘૂસવા દઈએ તો. ઘૂસવા ના દઈએ તો શું થાય ? ‘જ્ઞાન’ પ્રાપ્તિ પછીની પરિસ્થિતિસાપ, વીંછી, સિંહ, વાઘ, દુશ્મન કોઈ પણ દોષિત તમને ના દેખાય, એમનો દોષ નથી એવું દેખાય, એ દ્રષ્ટિ થઈ ગઈ એટલે થઈ રહ્યું. તે એ દ્રષ્ટિ તમને મળી ગયેલી છે. તમને આ દુનિયામાં કોઈ દોષિત દેખાય નહીં. પ્રશ્નકર્તા : એ દ્રષ્ટિ મળી ગયેલી છે. દાદાશ્રી : પછી અહીં જ મોક્ષ સુખ ભોગવે. અહીં આગળ આનંદ જ હોય. કોઈનો દોષ દેખાયો ત્યાં સુધી દુઃખ રહે. બીજાના દોષ દેખાતા બંધ થયા એટલે છૂટકારો. પ્રશ્નકર્તા : કોઈકવાર ગુસ્સો થઈ જાય વાઇફ પર, એ દોષ દેખાયો કહેવાય ? દાદાશ્રી : પણ ‘તમને’ ગુસ્સો ના થાય ને ? (પા.૭૯)પ્રશ્નકર્તા : મને, શુદ્ધાત્માને ના થાય. દાદાશ્રી : હા, પણ એ તો તમને તમારો દોષ દેખાય. તમને દેખાય ને પણ આ દોષ ? પ્રશ્નકર્તા : હા, દેખાય. દાદાશ્રી : એટલે તમારો દોષ દેખાય, પણ એનો (વાઇફનો) દોષ ના દેખાય ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : બસ, તે આપણે તો કોઈનો દોષ ના દેખાવો જોઈએ. તમારો દોષ, ચંદુભાઈનો દોષ દેખાય. પણ બીજા કોઈનો દોષ ના દેખાવો જોઈએ. પ્રશ્નકર્તા : એ જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે એનો (વાઇફનો) દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને ? દાદાશ્રી : ના. એ તો એનો દોષ દેખાયો, એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે, પણ તમને વાઇફ દોષિત ના દેખાય. તમને એનો દોષ દેખાતો નથી, ચંદુભાઈનો દેખાય છે. એટલે તમારો પોતાનો દોષ કાઢો કે, ‘ભઈ, આ તો ચંદુભાઈનો જ દોષ છે. પોતાનો જ દોષ છે આ તો !’ સમજ પડીને ? પ્રશ્નકર્તા : ગુસ્સો થઈ ગયા પછી એવું લાગે. દાદાશ્રી : એ થઈ ગયા પછી પણ ચંદુભાઈ દોષિત લાગે ને તમને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો જ ગુનો કહેવાય ને ! એ થઈ ગયા પછી જ ગુનો ગણાય. સામાનો દોષ ના દેખાયો, પોતાનો દોષ દેખાય એટલે કે આ ચંદુભાઈનો દોષ તમને દેખાય. ચંદુભાઈ ગુનેગાર છે એવું તમને લાગે. પ્રશ્નકર્તા : હા, દાદા. એવું જ થાય. (પા.૮૦)દાદાશ્રી : ચંદુભાઈને એ (વાઇફ) ગુનેગાર છે એવું લાગે. પણ તમને ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે. ચંદુભાઈએ આમનો દોષ જોયો અને આમની જોડે ગુસ્સો કર્યો, માટે ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે તમને. પ્રશ્નકર્તા : મારા નોકરને બે-ત્રણ બૂમો પાડી ઊઠાડ્યો, એણે જવાબ આપ્યો નહીં. એ જાગતો હતો. એના પર ખૂબ ક્રોધ આવ્યો તો એનું શું કરવું ? દાદાશ્રી : ક્રોધ આવ્યો પછી તમને દોષ દેખાયો ખરો ? પ્રશ્નકર્તા : દોષ તો દાદા પહેલાં દેખાયો પછી જ ક્રોધ આવે ને ? દાદાશ્રી : હા, એટલે ક્રોધ આવ્યો, પણ પછી તો લાગ્યું કે આનો દોષ નથી. એટલે તમને તમારી ભૂલ દેખાઈ. પ્રશ્નકર્તા : તરત ના લાગ્યું. દાદાશ્રી : પછીય એ પેલાએ ભૂલ નથી કરી, માટે આ ભૂલ પોતે કરી પછી લાગ્યું. પેલાએ ભૂલ કરી હોત તો પોતાનો દોષ દેખાત જ નહીં ! પ્રશ્નકર્તા : આવું અમારે રોજ બને ! ગુસ્સો આવી જ જાય. દાદાશ્રી : તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ શેના આધારે પ્રતિક્રમણ ? પસ્તાવો કરવાનું કારણ ? એણે આવું કર્યું શા માટે ? ત્યારે કહે, એણે જે કર્યું તે તમારા કર્મના ઉદય છે. તે એણે આ ભૂલ કરી. કોઈ પણ માણસ ભૂલ કરે છે તે તમારા નિમિત્તે જ કરે છે. માટે તમારો જ કર્મનો ઉદય છે અને એણે ભૂલ કરી. એટલે તમારે પસ્તાવો ફરી કરી લેવો જોઈએ. તમારે ગુસ્સે થવાની જરૂર ન હતી, અહીં આ જગ્યાએ. એમ ને એમ પસ્તાવો કરાય નહીં. ગુનો દેખાતો હોય અને સાબિત ના થાય ત્યાં સુધી એનો પસ્તાવો શી રીતે થાય ? એ તો સાબિત થવો જોઈએ કે ભઈ, પોતાના જ કર્મનો ઉદય છે. એવી સમજણ હોવી જોઈએ એને. અત્યારે કોઈ મને ધોલ મારે તો તરત હું તો એને આશીર્વાદ આપું. એનું શું કારણ ? એ ધોલ મારે છે ? આ દુનિયામાં કોઈ ધોલ મારી શકે (પા.૮૧)નહીં. પહેલાં તો મેં ઈનામ કાઢ્યું હતું, આજથી ત્રીસેક વર્ષ ઉપર ઈન્ડિયામાં ઈનામ કાઢ્યું હતું કે મને કોઈ પણ માણસ મારશે એને પાંચસો રૂપિયા રોકડા આપીશ. પણ કોઈ ધોલ મારનાર નીકળ્યો નહીં. કોઈ દુઃખી હોય કે ‘ભઈ, દુઃખનો માર્યો તું અહીં ઉછીના ખોળવા એના કરતાં આ લઈ જાને !’ ત્યારે એ કહે, ‘ના બા. એ ઉછીના ખોળવા સારુ પણ તમને ધોલ મારીને મારી શી દશા થાય ? આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે, ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર છે. ભગવાનની હાજરીથી ચાલે છે આ. એટલે કોઈ પણ તમારી જોડે દોષ કરે તો તે તમારો જ પડઘો છે. દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાનાં જીવમાત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે. તમારા દોષથી એ રીએક્શન (પ્રત્યાઘાત) આવેલું છે. આત્મા યે વીતરાગ છે અને પ્રકૃતિ યે વીતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એટલું એનું રીએક્શન આવે. ત્યારે દોષ બને એ ડિસ્ચાર્જ રૂપે...બધું નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ આપણો દોષ છે. કોઈ જીવનો દોષ છે જ નહીં. એવું દેખાયું તો જ્ઞાન કહેવાય, પણ એ દેખાય નહીંને ? પ્રશ્નકર્તા : દોષિત જોવો નથી છતાં દોષિત દેખાય એ ડિસ્ચાર્જ કહેવાયને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ ટુ બી હેબીચ્યુએટેડ. પોતાની સત્તા નહીં એ હેબીચ્યુએટેડ કહેવાય. પ્રશ્નકર્તા : દોષિત દેખાય તો એ ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : દોષિત જોવાનો ભાવ છૂટ્યો એટલે ડિસ્ચાર્જ કહેવાયને ! પણ એ એણે પૂરેપૂરી આજ્ઞા પાળી નથી. એ ધીમે ધીમે આજ્ઞા પાળતો જશે, તેમ તેમ ચોખ્ખું થઈ જશે. ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરવું પડે. (પા.૮૨)પ્રશ્નકર્તા : પણ બેઝીકલી એવું ફીટ થઈ ગયું છે કે નિર્દોષ જ છે. પણ કોઈકવાર એવું દોષિત દેખાઈ જાય છે. દાદાશ્રી : એટલે જ એ હેબીચ્યુએટેડ છે, કહ્યુંને. ના કરવું હોય તોય થઈ જાય. પ્રશ્નકર્તા : અમારાં લોકોની દ્રષ્ટિ હજી નિર્દોષ કેમ નથી થતી ? દાદાશ્રી : દ્રષ્ટિ નિર્દોષ જ છે. પ્રશ્નકર્તા : નિર્દોષ દેખાવું જોઈએ, એમ ભાવ છે, પણ છતાંય બીજાના દોષ દેખાય છે. દાદાશ્રી : દોષ દેખાય છે, એ જેને દેખાય છેને, તેને આપણે ‘જોઈએ’ છીએ, બસ. બાકી જે માલ ભરેલો હોય તેવો જ નીકળે ને ? પ્રશ્નકર્તા : પણ એનું પ્રતિક્રમણ કરવું પડે ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું જ પડેને ! શા માટે એવો માલ ભર્યો હતો ?! શ્રદ્ધાથી શરૂ, વર્તનથી પૂર્ણ...એટલે આ આપણું જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. સમજણેય શુદ્ધ છે. જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ. પહેલું નિર્દોષ શ્રદ્ધામાં આવ્યું, હવે ધીમે ધીમે સમજણમાં આવશે, જ્ઞાનમાં આવશે. પોતે શુદ્ધાત્મા જ છે ને ! ગજવું કાપે તોય નિર્દોષ દેખાવો જોઈએ. જે જાણ્યું એ પાછું આપણી શ્રદ્ધામાં પૂરેપૂરું આવે, ત્યાર પછી વર્તનમાં આવે. એટલે પૂરેપૂરું શ્રદ્ધામાં હજુ આવ્યું નથી. જેમ જેમ શ્રદ્ધામાં આવતું જશે એમ વર્તનમાં આવતું જશે. તે બધો પ્રયોગ ધીમે ધીમે થાય. એવું ઓચિંતું ના બની શકે કંઈ ! પણ જાણે ત્યાર પછી એ પ્રયોગમાં આવેને ?! પ્રશ્નકર્તા : આ જાણ્યું તો ઘણાં વખતથી છે જ ને ? દાદાશ્રી : ના. પણ એ જાણ્યું ના કહેવાય. જાણ્યું એનું નામ કહેવાય (પા.૮૩)કે પ્રવર્તનમાં આવે જ. એટલે પૂરેપૂરું જાણ્યું નથી. આ તો સ્થૂળ જાણ્યું. જાણ્યાનું ફળ શું ? તરત જ પ્રવર્તનમાં આવે. એટલે આ સ્થૂળ જાણ્યું છે, હજુ તો એનું સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ થશે ત્યારે પ્રવર્તનમાં આવશે. ન છોડવો કદિ સત્સંગ ‘આ’આ સત્સંગમાં તો માર પડતો હોય તોય માર ખઈને પણ આ સત્સંગ છોડવો નહીં. મરી જવું તોય આવા સત્સંગમાં મરી જવું, પણ બહાર ના મરવું. કારણ કે જે હેતુ માટે મર્યો, તે હેતુ એનો જોઈન્ટ થઈ જાય છે. અહીં કોઈ મારતું નથીને ? મારે તો જતો રહું ? આ જગત કાયદેસર ગોઠવાયેલું છે. હવે એમાં કોઈના દોષ જુએ તો શું થાય ? કોઈનો દોષ હશે ખરો ? પ્રશ્નકર્તા : કોઈનો દોષ તો નહીં હોય, પણ મને એવું દેખાય છે. દાદાશ્રી : જે દેખાય છે, એ દર્શન ખોટું હોય. આપણે એક વસ્તુ અહીંથી જોઈએ, એ હોય ઘોડો અને બળદ જેવું દેખાય તો આપણે બળદ છે એવું બોલીએ. પણ ત્યાં જઈને તપાસ કરીએ તો ખબર પડે કે ઘોડો છે, તો આપણે ના સમજીએ કે આપણી આંખો વીક (નબળી) થયેલી છે ! એટલે ફરીવાર કે જે દેખાય એવું નક્કી જ ના માનીએ. પ્રશ્નકર્તા : આપના વિઝન (દ્રષ્ટિ)થી કોઈનાં દોષ નથી છતાં મને આવું કેમ દેખાય છે ? દાદાશ્રી : તને દેખાય છે એમાં તું જ્ઞાન ગોઠવતો નથીને ! અજ્ઞાનને ચાલુ રહેવા દઉં છું. આ દાદાના ચશ્મા પહેરે તો દોષ ના દેખાય. પણ પેલાં ચશ્માથી જો જો કર્યા કરે છે. નહીં તો આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ મારી ઊંડામાં ઊંડી શોધખોળ છે ! વાળવી, દોષ જોવાની શક્તિનેકોઈનો દોષ જ જોવો નહીં. ત્યારથી જ ડાહ્યા થઈ જાય. દોષ કોઈનો ખરેખર છે નહીં. આ તો વગર કામનો મેજીસ્ટ્રેટ થઈ જાય છે. પોતાના દોષ (પા.૮૪)પૂરા દેખાતા નથી અને બીજાના જોવા તૈયાર થયા. દોષ જોવાની માણસનામાં શક્તિ છે, એ પોતાના દોષ જોવા માટે જ છે. બીજાના દોષો જોવા માટે નથી. તેનો દુરુપયોગ થવાથી પોતાનાં દોષ જોવાની શક્તિ બંધ થઈ ગઈ. બીજાના દોષ કાઢવા માટે નથી આ. એ એના પોતાના દોષ નહીં કાઢે ને ? આપણે બીજાના દોષ કાઢીએ તો એમને ગમે છે ? પ્રશ્નકર્તા : નથી ગમતું. દાદાશ્રી : ના ગમતો વેપાર બંધ ના કરીએ આપણે ? ‘વ્યવસ્થિત’ કર્તા ત્યાં ભૂલ કોની ?જાગૃતિ રાખવી એવો નિશ્ચય હોવો જોઈએ. ભૂલનો સવાલ નથી. આપણે અહીં ભૂલ થતી જ નથી. ભૂલ તો ‘જેની’ થાય, એને પાછું પોતાને સમજણ પડે કે આ ભૂલ થઈ, પણ વ્યવસ્થિત કરે છે, પણ પોતે નિમિત્ત થયો, માટે એનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરવું જોઈએ કે, ‘આવું ના હોવું જોઈએ.’ નહીં તો પછી ચાલે જ નહીં ને ! વસ્તુ જ આખી જુદી છે. કરે છે વ્યવસ્થિત. આપણે ત્યાં એટલે કોઈનો દોષ જોવાનો હોતો જ નથી ને ! આ સત્સંગમાં કોઈની ભૂલ જોવાની દ્રષ્ટિ છોડી દેજો. ભૂલ થતી જ નથી કોઈની. એ બધું ‘વ્યવસ્થિત’ કરે છે. માટે ભૂલની દ્રષ્ટિ જ કાઢી નાખવી. નહીં તો આપણો આત્મા બગડી જાય. પ્રશ્નકર્તા : ભૂલની દ્રષ્ટિ રહે તો પગથિયું ઊતરી પડે ને ? દાદાશ્રી : ખલાસ થઈ જાય માણસ ! બધું ‘વ્યવસ્થિત’ કરે છે. આ જ્ઞાન મળ્યા પછી બધું વ્યવસ્થિતના આધીન થાય છે. વજ્રલેપો ભવિષ્યતિ...અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ્ પાપમ્ વજ્રલેપો ભવિષ્યતિ. (પા.૮૫)બહાર કંઈ દોષ થયો હોય તો અહીં આગળ નાશ થઈ જાય, પણ અહીં આગળ પાપ કર્યું તે ‘વજ્રલેપો ભવિષ્યતિ’. એટલે મેં કહ્યું, ‘ધોઈ નાખજો.’ ત્યારે કહે, ‘હા. ભૂલ્યો. હવે કોઈ દહાડો આવું નહીં થાય.’ મેં કહ્યું, કોઈનોય દોષ જોશો નહીં, અહીં ના જોવો, બહાર જઈને જોવો. બહાર જઈને જોશો તો અહીં આગળ એ ધોવાઈ જશે પણ અહીં જુએ તો વજ્રલેપ થઈ જાય. સહેજેય કોઈનો દોષ ના જોવાય. ગમે તેવું ઊંધું કરતો હોય, તો દોષ ના જોવાય અને જોવાઈ જાય તો આપણે ધોઈ નાખવો જોઈએ અને નહીં તો એ વજ્રલેપ થઈ જાય. એટલે અહીં તો ધોઈ નાખવું તરત જ. વિચાર અવળો આવ્યો કે તરત ધોઈ નાખવું. કોઈ ઊંધું કરે કે છતું કરે, તે આપણે જોવાની જરૂર નથી. આ ધર્મસ્થાન કહેવાય. ઘેર ભૂલ કરી હોય તો અહીં આગળ સત્સંગમાં એ ભૂલ ભૂંસાઈ જાય. પણ ધર્મસ્થાનમાં ભૂલ થઈ, તો નિકાચીત થાય. પ્રશ્નકર્તા : દાદા પાસે બેઠા હોય તોય નિકાચીત થાય ? દાદાશ્રી : ના થાય. પણ એનો જે લાભ મળતો હોય તે ના મળે ને ! એનો લાભ મળતો હોય તે ના થાય. તે આવી ભૂલો થાય છે. એટલે ચેતવીએ તમને. ભૂલ થાય તેથી કરીને જ્ઞાન જતું રહેતું નથી. ચેતવવાથી ચોખ્ખું થાય ને ? દેખે દોષ જ્ઞાનીનાં, તેને...તને અમારો દોષ દેખાય કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : કોઈ દહાડોય નહીં ? અને આ પહેલી વખત આ બિચારાને અમારો દોષ દેખાય છે. તેથી અમે અજાણ્યા માણસને બહુ અમારા ટચમાં રાખતા નથી. બુદ્ધિ વાપરે તો દોષ જ દેખાય માણસને, પડી જાય. એ તો નર્કે જાય, સમજણ વગરના. અલ્યા, જ્ઞાની પુરુષને, જે આખા લોકને તારે, તેનામાંય દોષ ખોળી કાઢ્યા ! પણ આ અજાણ્યા માણસ, સમજણ નહીં. (પા.૮૬)તેથી અમે બહુ ટચમાં ના રાખીએ. એક-બે કલાક રાખીએ. નીરુબેન એકલાંને જ, એમને દોષ નહીં દેખાયા, કેટલાંય વર્ષથી જોડે રહે છે પણ એક અક્ષરેય દોષ નહીં દેખાયો ! એક સેકન્ડેય દોષ ના દેખાયો તે આ નીરુબેન ! તે ભારે કહેવાયને ! તને કોઈક દહાડો દેખાતો હશે, નહીં ? કોઈ દહાડોય નહીં ? પ્રશ્નકર્તા : દાદા, આપનું તો આ વિજ્ઞાન, એ વાતોની તો અદ્ભૂતતા જ છે ! અહીં દોષ જોવાનું તો કંઈ કારણ જ નથી, જેમને સંપૂર્ણ જ્ઞાનદશા વર્તતી હોય ! દાદાશ્રી : એવું છેને, આવડો છોકરો હોય તેય કહે કે દાદાજી કહે એ સાચું, બીજું નહીં. એવું માને છે બધાંય. પ્રશ્નકર્તા : આપ નિરંતર એકદમ સૂક્ષ્મતમમાં ઉપયોગમાં વર્તતા હોય, ત્યાં દોષ રહે જ નહીં ને કશું ? પછી આપના દોષ કેમ જોવાય ? દાદાશ્રી : એવી સમજણ નહીંને, એકુંય સમજણ નહીં. પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન સ્વરૂપે વર્તતા હો પછી બહારનું ગમે તેવું હોય, શ્રીમદ્ રાજચંદ્રે તો એટલે સુધી કીધું કે જ્ઞાનીને સનેપાત થાય, તોય એમના દોષ ના જોવાય. દાદાશ્રી : પણ એ સમજણ હોવી જોઈએ ને ! સમજણ કંઈ સહેલી વસ્તુ છે ! પ્રશ્નકર્તા : ઊલટાંનું આ પૂછવામાં, પેલું વાતચીત કરવામાં વિનય ચૂકાય એ બધી ભૂલો અમારી અમારે ધોવાની હોય. દાદાશ્રી : જ્યાં નહીં જોવાનું ત્યાં એ જોઈ નાખે, એ અજાયબી જ છે ને ! બીજી જગ્યાએ દોષ જુએને, તો હું એ ભાંગી આપું. અને અહીં દોષ જુએ તો કોણ ભાંગે એનું ? કોઈ ભાંગનારું જ રહ્યું નહીંને ! એટલે હું ચેતવી દઉં કે અલ્યા, જો જે, અહીં ચેતતો રહેજે. મહીં સમજણ નહીં ને બિચારાને ! કોઈ (પા.૮૭)જાતનીય સમજણ નહીંને ! આ થોડું-ઘણું જ્ઞાન આપ્યું હોયને, તે જાગૃતિ રહે એ લોકોને. ચોખ્ખો હોય તો. બીજી સમજણ નહીં કે હું શું કરી રહ્યો છું ! બુદ્ધિ ફસવે. તેની પોતાને ખબર ના પડે ને ! બુદ્ધિ બધાંને ફસવે. ના જોવાનું હોય તેય દેખાડે. આ બાબતમાં નીરુબેન જોયાં મેં. એક દહાડોય અવળો વિચાર ના આવે. અમારા હાથે કોઈકને મારતાં હોઈએને, તોય વિચાર નહીં. એનું કંઈ હિતનું કારણ જોયું હશે તેથી મારતા હશે ! પ્રશ્નકર્તા : અને એવું જ હોય છે. દાદાશ્રી : હવે એ આમની બુદ્ધિ શી રીતે પહોંચે ? પ્રશ્નકર્તા : આખું કેવળ કરુણા અને કલ્યાણ સિવાય બીજું કંઈ અહીં છે નહીં. દાદાશ્રી : ધીમે ધીમે એનુંય રાગે પડી જશે. પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં તો જગતમાં પણ કોઈને દોષિત જોવાનું નથી, તો જ્ઞાની પુરુષના તો દોષ જોવાતા હશે ? જગત નિર્દોષ જોવાનું છે. પોતાની જ ભૂલથી દોષ દેખાય છે. દાદાશ્રી : હા, પણ એવું ભાન રહે નહીં ને માણસને ! ભાન રહે તો આવું કરેય નહીંને બિચારો ? જોખમ ખેડે નહીં ને આ તો ? બહુ મોટું જોખમ કહેવાયને ! તેથી તો પેલા ભાઈને કહેલું કે આઠ વાગ્યાથી વહેલું તમારે આવવું નહીં. અમે ચા પીતાં હોઈએ ને દોઢ કપ પીતાં હોય કે બે કપ પીતાં હોઈએ ! ત્યારે એની બુદ્ધિ બતાડશે કે આટલું બધું બે કપ પીવાની શી જરૂર ? એક પીધી હોય તોય શું ખોટું ? પ્રશ્નકર્તા : જોવા જેવું તો મહીલું જ છે, કે ચા પીતી વખતે આપ મહીં કેવી રીતે વીતરાગતામાં રહો છો ! દાદાશ્રી : એવી જોવાની શક્તિ ક્યાંથી લાવે ? એ તો આપણા જ્ઞાનથી (પા.૮૮)મહીં ઠંડક રહે છે એટલું જ સારું છે ને ! પ્રશ્નકર્તા : આપ તો કહો છોને કે, એક ક્ષણ પણ અમારો મોક્ષનો ધ્યેય અમે ચૂકીએ નહીં. દાદાશ્રી : એક મિનિટેય, એક ક્ષણેય ના ચૂકાય. પ્રશ્નકર્તા : હવે આખું મોક્ષમાર્ગમાં રહેવું અને આ વ્યવહાર પાછો. એક એક વ્યક્તિને દુઃખદાયી ના થાય, એનો રોગ નીકળે, એટલું કડક બોલવું પડે, એ બધું કરવાનું. દાદાશ્રી : પછી બે બહારવટિયાની વાતેય વાંચીએ. પ્રશ્નકર્તા : એ પણ કરવાનું ને મોક્ષ ચૂકવાનો નહીં. દાદાશ્રી : બે બહારવટિયાની વાતેય વાંચવાની. એ ચોપડી હાથમાં આવી હોય તે પૂરી કરવાની. પેપર વાંચવાની ફાઈલનોય નિકાલ કરવાનો અને આ કહે છે અમારે કામ વધારે છે ! લે, આ કામવાળા આવ્યા ! અહીં પાણી મૂક્યું હોય ને તો અહીં ધરે મને, મારે ના પીવું હોય તોય ! એ જાણે કે આ થઈ ગયું કામ ! મારે ના પીવું હોય તોય ધરે. હું કહું કે, ‘ના, હમણે નહીં.’ એને એ કામ માને. આપણે જે કર્મ ના બંધાય કહીએ છીએને, તે પાંચ આજ્ઞા પાળતો હોય, એંસી ટકા તો. નહીં તો બધાં કર્મ બંધાય જ. આજ્ઞા ના પાળીએ એટલે કર્મ બંધાય જ. મારી પાસે આખો દહાડોય બેસી રહે તો કશું વળે નહીં. અને મારી પાસે છ મહિના ભેગો ના થયો પણ આજ્ઞા પાળતો હોય તેનું કલ્યાણ થાય. બાકી અહીં તો બધાને ઠંડક લાગેને, તે બધા બેસી જ રહેને ! કૂતરુંય અહીંથી ખસે નહીં, બળ્યું ! મારીએ તોય પાછું અહીં આવીને બેસે. અમે ઔરંગાબાદ ગયા હતા. તે કૂતરું મારી પાસેથી ખસતું ન હતું. સરળને જ્ઞાનીકૃપા અપારમોક્ષમાર્ગ હાથમાં આવ્યા પછી જે તમારાથી દોડાય એવું આમનાથી (પા.૮૯)દોડાય નહીં. આ તો બધું પાછું પ્રમાદી ખાતું. અમારે ઊંચકવા પડે. એટલે આ છે તે બિલાડીનાં બચ્ચા જેવાં છે. બિલાડીને એનાં બચ્ચાને જાતે ઊંચકીને ફરવું પડે ને તમે વાંદરાનાં બચ્ચા જેવાં છો. તમે પકડીને રાખો, છોડો નહીં, ચોક્કસ ! ડિઝાઈન એટલે ડિઝાઈન ! અને આમને તો અમારે ઊંચકવા પડે ! કારણ કે એમની સરળતા જોઈને અમે ખુશ હોઈએ. અને ખુશ હોઈએ એટલે ઊંચકીને ફરીએ. સરળતા તે બધું જ ખુલ્લું કરી નાખે. બધાં જ કબાટ ઊઘાડાં કરી નાખે. લ્યો સાહેબ, જોઈ લો. કહેશે કે, અમારી પાસે આ માલ છે. અને અસરળતા એટલે એક જ કબાટ ખુલ્લું કરે. બીજું તો, કહેશે તો ઊઘાડીશ, નહીં તો નહીં ઉઘાડીએ. અને આ તો કહેતાં પહેલાં બધાં જ ઊઘાડાં કરી નાખે. સરળતા તમે સમજ્યા ?! ગુણ જોતાં ગુણ પ્રગટેઅને સામાનો ગુણ જોયો કે ગુણ ઉત્પન્ન થશે. બસ ! આપણે ગાળ ભાંડીએ ને કોઈ ના બોલે, એટલે આપણે જાણીએ કે આમાં કેવા સરસ ગુણ છે ! તો આપણને એ ગુણો ઉત્પન્ન થાય. અને કોઈનો દોષ છે જ નહીં આ દુનિયામાં. પોતાના દોષથી જ છે આ બધુંય. નિજકર્મ એટલે નિજદોષઆ કરમ, કરમ ગાય છે પણ કરમ શું છે તેનું તેમને ભાન નથી. પોતાનાં કર્મ એટલે નિજદોષ. આત્મા નિર્દોષ છે. પણ નિજદોષે કરીને બંધાયેલો છે. જેટલા દોષ દેખાતા થાય એટલી મુક્તિ અનુભવાય. કોઈ કોઈ દોષોને તો લાખ-લાખ પડ હોય એટલે લાખ-લાખ વાર જોઈએ ત્યારે એ નીકળતા જાય. દોષો તો મન-વચન-કાયામાં ભરેલા જ છે. અમે જાતે જ્ઞાનમાં જોયું છે કે જગત શેનાથી બંધાયું છે. માત્ર નિજદોષથી બંધાયું છે. નર્યો ભૂલોનો ભંડાર મહીં ભરેલો છે. ક્ષણે ક્ષણે દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. આ બધો માલ તમે ભરી લાવ્યા તે પૂછ્યા વગરનો જ ને ! શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે ભૂલો દેખાય. છતાં ભૂલો ના દેખાય એ નર્યો પ્રમાદ કહેવાય. (પા.૯૦)શુદ્ધ ઉપયોગ, આત્મા તણોઆત્માનો શુદ્ધ ઉપયોગ એટલે શું ? એને વીલો ના મૂકાય. પા કલાક ઝોક આવી હોય તો પતંગની દોર અંગૂઠાને વીંટીને ઝોક ખાવી. તેમ આત્માની બાબતમાં જરાય અજાગૃતિ ના રખાય. આ મન-વચન-કાયાનો દોષ તો ક્ષણે ક્ષણે દેખાવો જોઈએ. આ દુષમકાળમાં દોષ વગર કાયા જ ના હોય. જેટલા દોષ દેખાયા એટલા (જ્ઞાનનાં) કિરણ વધ્યાં કહેવાય. આ કાળમાં આ અક્રમ જ્ઞાન તો ગજબનું પ્રાપ્ત થયું છે. તમારે માત્ર જાગૃતિ રાખીને ભરેલા માલને ખાલી કરવાનો છે, ધો ધો કરવાનો છે. અનંત ભૂલો છે. ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. નહીં તો ઊંઘ શાની ? ઊંઘ આવે એ તો વેરી ગણાય. પ્રમાદચર્યા કહેવાય ! શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુભ ઉપયોગ કહે છે. જ્ઞાની પુરુષ તો એક જ કલાક ઊંઘે. નિરંતર જાગૃત રહે. ખોરાક ઓછો થઈ ગયો હોય, ઊંઘ ઓછી થઈ ગઈ હોય ત્યારે જાગૃતિ વધે. નહીં તો પ્રમાદચર્યા રહે. ઊંઘ ખૂબ આવે તે પ્રમાદ કહેવાય. પ્રમાદ એ તો આત્માને ગાંસડી બાંધ્યા બરાબર. જ્યારે ઊંઘ ઘટે, ખોરાક ઘટે ત્યારે જાણવું કે પ્રમાદ ઘટ્યો. ભૂલ ભાંગે ત્યારે એના મોં પર લાઈટ આવે. સુંદર વાણી નીકળે, લોકો એની પાછળ ફરે. ભૂલ નથી જ એવું જો માનીને બેસી રહે તો પછી ભૂલ દેખાય જ ક્યાંથી ? પછી નિરાંતે સૂઈ રહે. આપણા ઋષિ- મુનિઓ ઊંઘે નહીં. બહુ જાગ્રત રહે. ભૂલો, અજવાળાનીસ્થૂળ ભૂલો તો સામસામી ટકરામણ થાય એટલે બંધ થઈ જાય. પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એટલી બધી હોય છે કે એ જેમ જેમ નીકળતી જાય તેમ તેમ માણસની સુગંધ આવતી જાય. આ ભૂલો તો અંધારાની ભૂલો. તે પોતાને દેખાય નહીં. એ તો જ્ઞાની પુરુષ પ્રકાશ ફેંકે એટલે દેખાય. એના કરતાં અજવાળાની ભૂલો સારી. ઇલેક્ટ્ર્રિસિટીવાળી હોય તે પોતાને તરત દેખાય. પ્રશ્નકર્તા : ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો શું છે ? દાદાશ્રી : એ બધી છતી ભૂલો અકળામણ થઈને જતી રહે. એનાથી (પા.૯૧)જાગૃત ને જાગૃત રહેવાય. એ સારું કહેવાય. જ્યારે અંધારાની ભૂલો તો કોઈને દેખાય જ નહીં. એમાં પોતે જ પ્રમાદી હોય, અપરાધી હોય અને દેખાડનારેય ના મળે. જ્યારે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો તો કોઈ બતાવનારે મળી રહે. પોતાની ભૂલો પોતાને કરડે તેને અમે ઇલેક્ટ્ર્રિસિટીવાળી ભૂલો કહીએ અને અંધારાની ભૂલો એટલે પોતાની ભૂલો પોતાને ના કરડે. જે ભૂલ કરડે તે તો તરત જ દેખાઈ જાય પણ જે ના કરડે તે જાણ બહાર જતી રહે. અંધારાની ભૂલો અને અંધારાની વાત એના કરતાં કઠણ માણસની અજવાળાની ભૂલો સારી, પછી ભલેને જથ્થાબંધ હોય. જ્યારે ના ગમતી અવસ્થાઓ આવી હોય, કોઈ મારે પથ્થર વડે, ત્યારે ભૂલો દેખાય. સ્ટ્રોંગ પરમાણુવાળી ભૂલો હોય તે તરત જ દેખાય, બહુ કડક હોય. જે બાજુ પેસે એ બાજુ ગરકી જાય. સંસારમાં પેસે તો એમાં ગરકી જાય અને જ્ઞાનમાં પેસે તો એમાં ગરકી જાય. પ્રગટે કેવળજ્ઞાન, અંતિમ દોષ જતાં‘મારામાં ભૂલ જ નથી’ એવું તો ક્યારેય ના બોલાય, બોલાય જ નહીં. ‘કેવળ’ થયા પછી જ ભૂલો ના રહે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉપજ્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા. ભગવાનને કેવળજ્ઞાન ઉપજ્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો ! તે બન્નેય સમકાલીન હતા ! છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળજ્ઞાન ઊભું થવું, એવો નિયમ છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ. આ તો દિવસેય કોથળામાં આત્મા પૂરી રાખે તો કેમ ચાલશે ! દોષો જોતા જઈને ધોવાથી આગળ વધાય, પ્રગતિ થાય, નહીંતર પણ આજ્ઞામાં રહેવાથી લાભ તો છે. તેનાથી આત્મા જળવાઈ રહે. જાગૃતિ માટે સત્સંગ અને પુરુષાર્થ જોઈએ. સત્સંગમાં રહેવા માટે પહેલાં આજ્ઞામાં રહેવું જોઈએ. અંધારાની ભૂલોઅરે, મનમાં ભાંડેલી ગાળ કે અંધારામાં કરેલાં કૃત્યો ભયંકર છે ! પેલો જાણે કે ‘મને કોણ જોવાનું છે ને કોણ આને જાણવાનું છે ?’ અલ્યા, આ ન્હોય પોપાબાઈનું રાજ ! આ તો ભયંકર ગુનો છે ! આ બધાંને અંધારાની (પા.૯૨)ભૂલો જ પજવે છે ! ‘હું જાણું છું’ એ અંધારાની ભૂલ તો બહુ ભારે ભૂલ અને પાછું ‘હવે કંઈ વાંધો નથી’ એ તો મારી જ નાખે. આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ બોલી જ ના શકે કે ‘મારામાં એકુંય ભૂલ નથી રહી.’ દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે. આપણે ‘શુદ્ધાત્મા’ અને બહારની બાબતમાં ‘હું કશું જાણું નહીં’ એમ રાખવાનું, એથી વાંધો જ નહીં આવે. પણ ‘હું જાણું છું’ એવો રોગ તો પેસવો જ ના જોઈએ. આપણે તો ‘શુદ્ધાત્મા’. ‘શુદ્ધાત્મા’માં એકેય દોષ ના હોય પણ ચંદુલાલમાં જે જે દોષ દેખાય તેમ તેમ તેનો નિકાલ કરવાનો. અંધારાની ભૂલો અને અંધારામાં દટાઈ રહેલી ભૂલો ના દેખાય. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ વધારે વધારે ભૂલો દેખાય. સ્થૂળ ભૂલોય ભાંગે તો આંખનું લાઈટ ફેરફાર થઈ જાય ! અંધારામાં ભરેલી ભૂલો અંધારામાં ક્યાંથી દેખાય ? ભૂલો જેમ જેમ નીકળતી જાય તેમ તેમ વાણીય એવી નીકળતી જાય કે કોઈ બે ઘડી સાંભળતો રહે ! દાદા, ‘ડૉક્ટર’ દોષોનાંભૂલો તો ઘણી જ છે એ જો જાણીએ તો ભૂલો દેખાતી થાય ને પછી ભૂલો ઓછી થતી જાય. અમે બધાંના દોષ ઓછા જોતાં રહીએ ? એવી અમને નવરાશેય ના હોય. એ તો બહુ પુણ્યૈ ભેગી થાય ત્યારે તમારા દોષ દેખાડીએ. આ દોષોથી મહીં ભારે રોગ ઊભો થાય. પુણ્યૈ જાગે ત્યારે અમે સિદ્ધિ બળે એનું ઑપરેશન કરીને કાઢી નાખીએ. આ ડૉક્ટરો કરે છે તે ઑપરેશન કરતાં લાખ ગણી મહેનત અમારા ઑપરેશનમાં હોય ! દોષ કાઢવાની કૉલેજહસતાં-રમતાં દોષ કાઢવાની કૉલેજ જ આ છે ! નહીં તો દોષ તો રાગ-દ્વેષ વગર જાય નહીં. હસતાં-રમતાં ચાલે આ કૉલેજ એય અજાયબી જ છે ને ! અક્રમની અજાયબી છે ને ! પ્રશ્નકર્તા : આપના શબ્દો એવાં નીકળે કે એ દોષ નીકળ્યા કરતો હોય ત્યાંથી. અહીંથી શબ્દો એવા નીકળે કે પેલો દોષ ત્યાં ખરી પડે. (પા.૯૩)દાદાશ્રી : ખરી પડેને ? બરોબર છે. હવે તમને દોષ દેખાય છે એ તમને શી રીતે ખબર પડે ? ત્યારે કહે, ચંદુભાઈ ગુસ્સે થાય તે તમને ગમે નહીં. એ જાણ્યું કે આ ચંદુભાઈમાં આ દોષ હતો. પકડાયો દોષ. એ દોષ તમે જોયાં. ચંદુભાઈનામાં જે દોષ હતા એ તમે જોયા. ‘દીઠાં નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય ?’ નિજદોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પરમાત્મા થવાની તૈયારી થઈ, કહે છે. અને નિજદોષ તો કોઈનેય ના દેખાય. અહંકાર છે ત્યાં સુધી અણુએ અણુમાં દોષ છે. ભ્રાંતિ જાય ત્યારે ખબર પડે કે ઓહોહો ! ચંદુભાઈ ક્રોધ કરે છે. તે આપણને ગમે નહીં. ચંદુભાઈ આમ કરે છે, એ ચંદુભાઈનો દોષ પકડાયો. પકડાય કે ના પકડાય દોષ બધાં ? પ્રશ્નકર્તા : પકડાય. પણ દાદા, તમારું વાક્ય ગમ્યું હતું. દોષ દીઠો ને ગયો. દેખાણું એટલે ગયો. દાદાશ્રી : દોષ દેખાયો એટલે ગયો. ત્યારે તેથી શાસ્ત્રકારોએ કહ્યું, મહાવીર ભગવાને કહ્યું હતું કે તું દોષને જોઈ લે. દોષમાં એકાગ્રતા થવાથી એટલે જોયું નહીં અને આંધળો રહ્યો, તેથી દોષ તને વળગ્યો. હવે એ દોષને તું જોઉં તો ચાલ્યો જશે. હવે એ દાવો શું માંડે છે ? એ પુદ્ગલ આપણને કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, મારું શું ? તો આપણે કહીએ, હવે મારે ને તારે શું લેવાદેવા ? ત્યારે કહે, ‘ના, એવું ચાલે નહીં. એ તમે બગાડ્યું હતું. આ તે જેવું હતું એવું કરી આપો. નહીં તો તમે છૂટકારો ના થાય. ત્યારે કહે, શી રીતે છૂટકારો થાય ? ત્યારે કહે, જે અજ્ઞાનતાથી તમે જોયું તેથી અમે બંધાયા તમારી જોડે અને જ્ઞાનથી જુઓ તો અમે છૂટી જઈએ. એટલે જ્ઞાને કરીને દોષ ગાળ્યા સિવાય એ દોષ જાય નહીં. અજ્ઞાને બાંધેલા જ્ઞાને કરીને છૂટે. એટલે આપણે જોયાં. જ્ઞાન એટલે જોવું. જોયું એ છૂટ્યું. પછી ગમે તેવું હોય. અને છતાંય અક્રમ વિજ્ઞાન છે... ક્રમિકમાં બધો ડહાપણવાળો માર્ગ હોય. છોડતો છોડતો આવ્યો હોય અને અહીં તો છોડતો છોડતો નહીં આવેલો. એટલે કોઈકને દુઃખ થાય એવું બોલી ગયાં હોય ચંદુભાઈ તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો, કેમ આમ કરો છો ? (પા.૯૪)પ્રશ્નકર્તા : શૂટ એટ સાઈટ, તરત જ. દાદાશ્રી : હા, આખો દહાડો નહીં, પણ એ તો લાગે આપણને કે આ દોષ આ સામેનાંને દુઃખ થાય એવું બોલ્યો છે તેનું પ્રતિક્રમણ કરવાનું અને તે કરે છે આપણા મહાત્માઓ. શુદ્ધાત્માને પ્રતિક્રમણ શું કરવાનું ? જે અતિક્રમણ કરતો જ નથી, તેને પ્રતિક્રમણ શું કરવાનું ? આ તો જેણે કર્યું તેને કહીએ, તમે કરો. આખો સિદ્ધાંત મોઢે રાખવો પડશે આ તો. અને રહે છે પણ, લખે તો ભૂલી જાય. આખો સિદ્ધાંત મોંઢે યાદ રહે છે ને ? હા... એમનાથી ઉંમરને લઈને થોડું ઓછું અવાય તોય પણ બધું મોઢે, લક્ષમાં રહેવાનું બધુંય. આપણે તો કામ સાથે કામ છે ને ? છૂટવા સાથે કામ છે ને આપણે ? પ્રશ્નકર્તા : મને તો તમારી એક વાત બહુ ગમેલી ત્યાં ઔરંગાબાદમાં બોલેલા. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : કે મારાં પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે. દોષ પહેલાં તમારાં પ્રતિક્રમણ પહોંચે છે. દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ શૂટ ઓન સાઈટ. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થઈ ગયું ! કારણ કે જાગૃતિનું ફળ છે. આવરણ તૂટ્યે દોષ ભળાયભૂલો નહોતી દેખાતી. આત્મા પ્રગટ નહોતો તેથી ભૂલ નથી દેખાતી. આ તો હવે આટલી બધી ભૂલો દેખાય છે, એનું શું કારણ છે ? આત્મા પ્રગટ થયો છે. પ્રશ્નકર્તા : શરૂઆતમાં અમને જ્યારે ભૂલ નહોતી દેખાતી, ત્યારે શું અમારે આત્મા પ્રગટ નહોતો થયો ? (પા.૯૫)દાદાશ્રી : થયો’તો. પણ તે ધીમે ધીમે આ ભૂલો દેખાય એવું હું કરતો હતો, આવરણ તોડતો હતો. જેટલાં દોષ ઉત્પન્ન થાય છે એટલાં દોષ દેખાયા સિવાય જાય નહીં, જો દેખાયા સિવાય ગયો તો આ અક્રમ વિજ્ઞાન ન હોય. એવું આ વિજ્ઞાન છે. વિજ્ઞાન છે આ તો ! દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલો રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે. પ્રશ્નકર્તા : પણ દાદા, આ જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એવી આવે, આપણા પોતાના દોષ દેખાયને, ખૂબ બધા પાપો દેખાય અને તેનો ગભરાટ થાય. દાદાશ્રી : તેનો ગભરાટ રાખવાથી શું ફાયદો ? દેખનાર, હોળી જોનારો માણસ દાઝે ખરો ! પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : હોળી દાઝે, પણ હોળી જોનારો કંઈ દાઝે ! એ તો ચંદુભાઈને થાય, ત્યારે ખભો થાબડવો કે ભઈ, થાય છે બા. કર્યો છે તે થાય, કહીએ. પ્રશ્નકર્તા : પણ તે ગરમી લાગે ને દૂરથી હઉ, દાદા ! દાદાશ્રી : હા, લાગે, લાગે. પ્રશ્નકર્તા : એટલાં બધાં પાપો કરેલાં દાદા, ક્યારે છૂટકારો મળે એમ થાય ! દાદાશ્રી : હા, એ હિસાબ વગરના, પાર વગરના દોષો કરેલા ! પ્રશ્નકર્તા : અને એ જ્યારે દેખાય ત્યારે એમ થાય, કે આ દાદા નહીં મળ્યા હોત તો અમારું શું થાત ! દાદાશ્રી : પાપ પોતાનું દેખાયું ત્યારથી જ જાણીએ કે આપણી કઈ ડિગ્રી (પા.૯૬)થઈ ! આ જગતમાં કોઈ પોતાનું પાપ જોઈ શકે નહીં. કોઈ દહાડો દોષ જોઈ શકે નહીં. દોષ જુએ તો ભગવાન થાય. પ્રશ્નકર્તા : વહુના, કોઈના દોષો ના દેખાય એવું કરો. દાદાશ્રી : ના, દોષો તો દેખાય બળ્યા, એ દેખાય છે તેથી તો આત્મા જ્ઞાતા છે ને પેલું જ્ઞેય છે. પ્રશ્નકર્તા : પણ દોષો દેખાય નહીં એવું ના થાય ? દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે, પણ દોષો નથી, જ્ઞેય છે એ. વીતરાગોની નિર્દોષ દ્રષ્ટિવીતરાગોની કેવી દ્રષ્ટિ ! શું દ્રષ્ટિએ એમણે જોયું કે જગત નિર્દોષ દેખાયું ? હેં સાહેબ ! આપણે વીતરાગોને પૂછીએ કે સાહેબ, તમે તો કેવી, કંઈ આંખે એવું જોયું તે આ જગત તમને નિર્દોષ દેખાયું ? ત્યારે એ કહે, ‘એ જ્ઞાનીને પૂછજો. અમે તમને જવાબ આપવા ના આપીએ.’ ડીટેલમાં વિગતવાર જ્ઞાનીને પૂછજો. મેં જોયું એ એમણે તો જોયું પણ મેંય જોયું એ ! પ્રશ્નકર્તા : એટલે દાદા, નિર્દોષ જાણવા, નિર્દોષ ગણવા નહીં એમ ? અને દોષિત જાણવા એમ ? દાદાશ્રી : આપણા જ્ઞાનમાં દોષિત નહીં, નિર્દોષ જ જાણવા. દોષિત કોઈ હોતો જ નથી. દોષિત ભ્રાંત દ્રષ્ટિથી છે. ભ્રાંત દ્રષ્ટિ બે ભાગ પાડે છે. આ દોષિત છે ને આ નિર્દોષ છે. આ પાપી છે ને આ પુણ્યશાળી છે. અને આ દ્રષ્ટિએ એક જ છે કે નિર્દોષ જ છે. અને તે તાળાં વાસી દીધેલાં. બુદ્ધિને એ બોલવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિને ડખો કરવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિબેન ત્યાંથી પાછાં ફરી જાય કે આપણું હવે ચાલતું નથી. ઘેર ચાલો. એ કંઈ ઓછી કુંવારી છે ? પૈણેલી હતી તે તેને ત્યાં જાય પછી, સાસરે જતી રહે બેન. (પા.૯૭)દોષિત દ્રષ્ટિને પણ તું ‘જાણ’પ્રશ્નકર્તા : એટલે દાદા, દોષિત પણ નહીં ગણવા, નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા. દાદાશ્રી : જાણવાનું બધુંય. દોષિત જાણવા નહીં. દોષિત જાણે તે તો આપણી દ્રષ્ટિ બગડી છે અને દોષિત જોડે ‘ચંદુભાઈ’ એ કરે છે એ ‘આપણે’ જોયા કરવાનું. ‘ચંદુભાઈને’ ‘આપણે’ આંતરવાના નહીં. પ્રશ્નકર્તા : એ શું કરે છે એ જોયા કરવાનું. દાદાશ્રી : બસ, જોયા કરો. કારણ કે એ દોષિતની જોડે દોષિત એની મેળે માથાકૂટ કરે છે પણ આ ‘ચંદુભાઈ’ યે નિર્દોષ છે અને એય નિર્દોષ છે. બે લઢે છે પણ બન્નેય નિર્દોષ છે. પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈ દોષિત હોય તોય એને દોષિત ગણવો નહીં. એને દોષિત તરીકે જાણવો ખરો ? દાદાશ્રી : જાણવો. એ તો જાણવો જ જોઈએ ને ? પ્રશ્નકર્તા : અને સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે. દાદાશ્રી : સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે, પણ ચંદુભાઈનું તમારે જે કંઈ કરવું હોય તે કરવું. બાકી જગતના સંબંધમાં નિર્દોષ ગણવાનું હું કહું છું. ચંદુભાઈને તમારે ટકોર કરવી પડે કે આવું ચાલશો તો નહીં ચાલે. એને શુદ્ધ ફૂડ આપવાનો છે. અશુદ્ધ ફૂડથી આ દશા થઈ છે તે શુદ્ધ ફૂડે કરીને નિવેડો લાવવાની જરૂર. પ્રશ્નકર્તા : એ કંઈ આડું અવળું કરે તો પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ? દાદાશ્રી : હા, એ બધું જ કહેવું પડે. ‘તમે નાલાયક છો’ કહીએ. એમેય કહેવાય. ચંદુભાઈ એકલા માટે બીજાને માટે નહીં. કારણ કે તમારી ફાઈલ નંબર વન, તમારી પોતાની, બીજાને માટે નહીં. (પા.૯૮)પ્રશ્નકર્તા : એટલે ફાઈલ નંબર વન દોષિત હોય તો તેને દોષિત ગણવી, એને વઢવું. દાદાશ્રી : બધું વઢવું, પ્રિજ્યુડીસ હઉ રાખવો એની પર કે તું આવો જ છે, હું જાણું છું. એને વઢવું હઉ કારણ કે આપણે એનો નિવેડો લાવવો છે હવે. નથી કરવાનું, માત્ર જોવાનુંપ્રશ્નકર્તા : પણ આ બીજા કોઈ ભાઈ હોય, ફાઈલ નં. દસમી, એને દોષિત નહીં જોવા. એ નિર્દોષ એમ ? દાદાશ્રી : નિર્દોષ ! અરે, આપણી ફાઈલ નંબર ટુ હઉ નિર્દોષ ! કારણ કે ગુના શા હતા ? કે બધાને દોષિત જોયા અને આ ચંદુભાઈનો દોષ જોયો નથી. એ ગુનાનું રીએક્શન આવ્યું આ. એટલે ગુનેગાર પકડાઈ ગયો. બીજા ગુનેગાર છે જ નહીં. પ્રશ્નકર્તા : પેલું ઊંધું જોયું છે. દાદાશ્રી : ઊંધું જ જોયું. હવે છતું જોયું. વાત જ સમજવાની છે. કશું કરવાનું નથી. વીતરાગોની વાત સમજવાની જ હોય, કરવાનું ના હોય. એવાં વીતરાગ ડાહ્યા હતા ! જો કરવાનું હોય તો માણસ થાકી જાય બિચારો ! પ્રશ્નકર્તા : અને કરે તો પાછું બંધન આવે ને ? દાદાશ્રી : હા. કરવું એ જ બંધન ! કંઈ પણ કરવું એ બંધન. માળા ફેરવી, મેં કર્યું એટલે બંધન. પણ તે બધાંને માટે નહીં. બહારનાને માટે હું કહું કે માળા ફેરવજો. કારણ કે એમને ત્યાં એ વેપાર છે એમનો. બેઉના વેપાર જુદા છે. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિ દેખાવા માંડી છે, બધું દેખાય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું દેખાય પણ એનો સ્ટડી કેવી રીતે કરવો ? એની આગળ જ્ઞાન કેવી રીતે કામ કરવું જોઈએ ? કેવી જાગૃતિ રહેવી જોઈએ ? દાદાશ્રી : પ્રકૃતિ તો આપણને માલમ જ પડી જાય. એ આપણને ખબર (પા.૯૯)જ પડી જાય કે આ પ્રકૃતિ આવી જ છે અને ઓછી ખબર પડી હોય તો દહાડે દહાડે સમજ વધતી જાય ! પણ છેવટે ‘ફૂલ’ સમજમાં આવે. એટલે આપણે ફક્ત કરવાનું શું છે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે તે આપણે જોયા કરવાની જરૂર છે, એ જ શુદ્ધ ઉપયોગ છે. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને જોવાનું હોય, એમાં જોવાય નહીં ને પાછું ચૂકી જવાય તો એમાં કઈ વસ્તુ કામ કરતી હોય છે ? દાદાશ્રી : આવરણ. એ આવરણ તોડવું પડે એ તો. પ્રશ્નકર્તા : એ કેવી રીતે તૂટે ? દાદાશ્રી : આપણે અહીં વિધિઓથી તૂટતું જાય દહાડે દહાડે, તેમ તેમ દેખાતું જાય. આ તો બધું આવરણમય જ હતું, કશું દેખાતું ન હોતું, તે ધીમે ધીમે દેખાવા માંડ્યું. એ આવરણ જોવા ના દે બધુંય. અત્યારે બધાય દોષ દેખાય નહીં. કેટલા દેખાય છે ? દસ-પંદર દેખાય છે ? પ્રશ્નકર્તા : ઘણાં દેખાય છે. દાદાશ્રી : સો-સો ? પ્રશ્નકર્તા : ચેઈન ચાલ્યા કરે. દાદાશ્રી : તોય પૂરાં ના દેખાય. આવરણ રહેને પાછાં. ઘણા દોષ હોય. અમારે વિધિ કરતી વખતેય અમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો થયા કરેને, જે સામાને નુકસાન ન કરે એવો, પણ એ દોષ અમને થાય તે ખબર પડે. તરત અમારે એને સાફ કરવાં પડે, ચાલે જ નહીંને ! દેખાય એટલા તો સાફ કરવાં જ પડે. ઘઉં પોતાના જ વીણો નેપ્રશ્નકર્તા : બીજાની પ્રકૃતિ જોવાની જે આદત ન હોય એને શું કહેવાય ? (પા.૧૦૦)દાદાશ્રી : બીજાની પ્રકૃતિ જોવી તો દોષ કાઢવો નહીં. સમજવો ખરો કે ‘આ દોષ છે’ પણ આપણે કાઢવો નહીં. એ એમનાં પોતાનાં દોષ જોતાં શીખ્યા છે, એટલે આપણે કાઢવાની જરૂર ખરી ? પ્રશ્નકર્તા : ના, એ આપણા દોષ કાઢે તો આપણે શું કરવાનું ? દાદાશ્રી : એ આપણાં કાઢે તો ફરી આપણે જો એનાં કાઢવાં જઈએ તો વધતું જાય દહાડે દહાડે. એના કરતાં આપણે બંધ કરીએ તો કો’ક દહાડો વિચાર આવે કે ‘આ કંઈ થાકતાં નથી. મારે એકલાને જ થકવ થકવ કર્યા કરે.’ એટલે એ થાકીને બંધ થઈ જાય. બીજાનો દોષ કાઢવો એ ટાઈમ યુઝલેસ (નકામો) વાપરવા જેવું છે. પોતાના દોષનું બધું પાર વગરનું ઠેકાણું ના હોય ને બીજાના દોષ જુએ. અલ્યા ભઈ, તું તારા ઘઉં વીણને ! પારકાં ઘઉં વીણે ને અહીં ઘેર તારાં વીણ્યાં વગરનાં દળ્યા કરું છું ! શું ? પ્રશ્નકર્તા : પણ એવું હોય દાદા, કે આપણા તો ઘઉં વીણેલાં હોય, પણ આપણે વીણતા હોય ને વ્યવહાર જેની સાથે હોય, તો એ આપણામાં આવીને પાછાં વીણ્યાં વગરનાં નાખી જતાં હોય ભેગાં અને આપણે કહીએ કે ભઈ, આવું ના કરીએ. દાદાશ્રી : વીણ્યા વગરના નાખે ક્યારે કે આપણાં આમ વીણ્યા વગરનાં હોયને, તો જ નાખે. એ વીણેલાં હોય તો ના નાખે. એ તો કાયદા છે બધા. આ તો ઈન્દ્રિયગમ્ય જ્ઞાનપ્રશ્નકર્તા : ના, પણ દાદા આપણે સમભાવે નિકાલ કરતા હોઈએ કોઈ વસ્તુનો, કે ‘ભઈ આ વસ્તુ સારી નથી.’ કે આની અંદર આમાં કલેશ થાય છે, કે આની અંદર, આને લીધે કંઈ વ્યવહાર બગડે છે. પણ સામે સમભાવે નિકાલ કરવાને બદલે એમ કહે, ‘હું તો કરીશ. તારાથી થાય એ કરી લે.’ તો પછી ત્યાં કઈ રીતે વ્યવહાર કરવો ? દાદાશ્રી : એવું છેને, આ બધાં બુદ્ધિનાં અડપલાં છે. જ્યાં પરિણામ જ, જે પરિણામ ફરે નહીં, ત્યાં જોયા કરવાનું કે પરિણામ શું થાય છે એ ! સામાની (પા.૧૦૧)પ્રકૃતિ જોયા કરવાની. હવે આ અડપલાં કોણ કરે છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલ ? દાદાશ્રી : બુદ્ધિ. નહીં તો પરિણામ તો બધાં જે છે એને જોયા કરવાનાં છે આપણે. જુએ તો આપણે આત્મા થઈ ગયા અને પેલું દોષો જુઓ તો પ્રકૃતિ થઈ જશો. પ્રશ્નકર્તા : દાદા, લોકો એમ કહે છે કે ‘અમે તો તમારી પ્રકૃતિની ભૂલ કાઢીએ છીએ ને અમે એને જોઈએ છીએ કે આ તમારી ભૂલ કાઢે છે. દાદાશ્રી : ના, એ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને જોનાર ભૂલ કાઢે નહીં. આ તો કાયદા હોય ને ?! પ્રશ્નકર્તા : એટલે તમે કહો કે, ભૂલ કાઢીને કહો કે અમે જોઈએ છીએ અમે ભૂલ કાઢીએ છીએ, ધેટ મીન્સ (તેનો અર્થ).... દાદાશ્રી : કોઈ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને જોનાર હોય તે ભૂલ કાઢી શકે નહીં. એ પેલું જોવું ને આ જોવામાં ફેર છે. પેલું ઇન્દ્રિયગમ્ય જોનાર અને પેલું અતીન્દ્રિય છે, તે જ્ઞાનગમ્ય જોનાર છે એટલે આ જોયું કહેવાય નહીં. પ્રશ્નકર્તા : જો કોઈની પણ ભૂલ કાઢી, ધેટ મીન્સ... દાદાશ્રી : કોઈની પણ ભૂલ કાઢવી એ તો મોટામાં મોટો ગુનો છે. કારણ કે આ જગત નિર્દોષ છે. અને આ જ્ઞાનગમ્ય કહેવાયપ્રશ્નકર્તા : પણ દાદા, આપણે આ ડિસ્ચાર્જ તરીકે જોઈએ છીએ કે આ જો ચંદુભાઈ ખોટી ભૂલ કાઢે છે કોઈની, એ જુએ છે, એ શું તો ? દાદાશ્રી : એ ચંદુભાઈ ભૂલ કાઢતી વખતે જે જુએ છે, એ બુદ્ધિગમ્ય છે. પ્રશ્નકર્તા : એટલે આ ચંદુભાઈ ચંદુભાઈને જુએ છે એ બુદ્ધિગમ્ય છે ? (પા.૧૦૨)દાદાશ્રી : હા, એ બુદ્ધિગમ્ય છે. અને પેલું જ્ઞાનગમ્ય ક્યારે કહેવાય કે કોઈની ભૂલ કાઢે નહીં અને જુએ ત્યારે જ્ઞાનગમ્ય કહેવાય. પ્રશ્નકર્તા : હા, પણ દાદા, રોજીંદા વ્યવહારમાં કોઈ વખત કહેવું તો પડે કે આ વસ્તુ સારી નથી. દાદાશ્રી : પણ ‘કહેવું પડે’ એ કાયદો ના હોય, કહેવાઈ જાય, એવી નિર્બળતા હોય જ. અમે હઉ કોઈને મારી જોડે રહેતાં હોયને, તેને કહીએ કે ‘આ શું કરવા ભૂલ કરી પાછી ?’ એવું કહીએ. પણ કહેવાઈ જાય, શું કહ્યું ? એવી સહેજ નિર્બળતા ભરાઈ પડેલી હોય બધાને. પણ એમ આપણે સમજવું કે ‘આ ભૂલ થઈ. આવું ન થવું જોઈએ’. એણે પોતે એમ માનવું જોઈએ કે આ ખોટું છે. તો ભૂલો કાઢવાની આદત એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી થતી ખલાસ થઈ જશે. પેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે બધું. પોતાની ભૂલોને પોતે જ વઢેદરેક અડચણો આવે છેને, પહેલી સહન કરવાની તાકાત આવે, પછી અડચણો આવે છે. નહીં તો માણસ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય. એટલે કાયદા એવાં છે બધા. પ્રશ્નકર્તા : દાદા, એ ‘વ્યવસ્થિત શક્તિ’ કરે ? દાદાશ્રી : એનું નામ જ ‘વ્યવસ્થિત’. એટલે એવાં સંજોગ ઊભા થઈને પછી છે તે, શક્તિ યે ઉત્પન્ન થશે, નહીં તો એ માણસ શુંનું શું થઈ જાય ! માટે કોઈ રીતે ગભરાવાનું કોઈ કારણ નથી. આપણે તો દાદા છે ને હું છું, બસ, બીજું કાંઈ નથી આ દુનિયામાં. દાદા છે ને હું છું, બેઉ. દાદાના જેવી દરઅસલ ખુમારી રહેવી જોઈએ. કોઈ બાપોય ઉપરી નથી એવી. ઉપરીના ઉપરી કહ્યા દાદાને ! પ્રશ્નકર્તા : દાદા, અમને તો અમારી ભૂલો હજુ ડરાવે ને ? (પા.૧૦૩)દાદાશ્રી : હા, ડરાવે. પ્રશ્નકર્તા : હા, તમારી સ્થિતિ ઉપર પહોંચતા તો. દાદાશ્રી : ભૂલો ડરાવે ને ! તે પણ આપણે સમજીએને, કે આ કોણ ડરાવે છે તે ? તેમ આપણે જાણીએ. પણ મૂળ તો છીએ દાદા જ છીએને આપણે ? એમાં ફેર નથી ને ? એકનાં એક જ છીએને ? એટલે અમારાં ભાગીદાર તે એક ફેરો મને કહે છે, ‘બે-ત્રણ અડચણો હમણે આવી છે તે બધી ભારે અડચણો આવી.’ મેં કહ્યું, જાવ, અગાશીમાં જઈને બોલો કે ભઈ, બે-ત્રણ અડચણો આવી છે ને દાદા બેંક ખોલી છે આપણે. એટલે બીજાં જે હોય તે આવી જાવ, તે પેમેન્ટ કરી દઉં, કહીએ. શું કીધું ? પહેલાં બેંક નહોતી તે મારી ઉપાધિ હતી. હવે બેંક છે મારી પાસે દાદા બેંક, જેટલી હોય એ બધા ભેગા થઈને આવો, કહીએ. તે પણ અગાશીમાં જઈને બોલ્યા યે ખરાં મારા શબ્દો. બૂમ પાડીને બોલ્યા કે, ‘જે હોય એ, બધાં આવી જાવ. મારે પેમેન્ટ કરવું છે’. હા, મહીં હાય હાય... જૂ પડે તો એમ કંઈ ધોતીયા કાઢી નાખે ચાલતું હશે ? એટલે એવું કહેવું કો’ક દહાડો. આપણી અગાશી છે જ ને ? તે ‘આવી જાવ, પેમેન્ટ કરી દઈએ’ કહીએ. ત્યારે સંપૂર્ણ થયો નિકાલતમે ઢીલા થાવ તો વસ્તુ બધી વધારે ચોંટી પડે. અને બધી ફાઈલોનો નિકાલ થઈ ગયો એટલે પરમાત્મા જ છો. તમારે ફાઈલ ખરી કે ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એમ ? ત્યારે સારું. ફાઈલો છે ત્યારે જ ભાંજગડ ને ! પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ કમ્પ્લીટ થઈ ગયો એ ક્યારે કહેવાય ? ફાઈલ પૂરેપૂરી ઉકલી ગઈ, એનો નિકાલ થઈ ગયો, એવું ક્યારે ખબર પડે ? ક્યારે કહેવાય ? દાદાશ્રી : આપણા મનમાં ન રહે એનાં તરફ ને એનાં મનમાં આપણા (પા.૧૦૪)તરફ ના રહે એટલે કમ્પ્લીટ નિકાલ થઈ ગયો. પ્રશ્નકર્તા : એના મનમાં ન રહેવું જોઈએ. દાદાશ્રી : રહે તો આપણે વાંધો નહીં. આપણાં મનમાં બિલકુલ ક્લિયર થાય તો થઈ ગયો. પ્રશ્નકર્તા : એટલે આપણને એના માટે વિચાર પણ ના આવે એવું ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : વિચાર આવતાં પણ બંધ થઈ જાય એનાં માટે. દાદાશ્રી : હા. ક્યાં સુધી મન ચોખ્ખું થયું ?એકાદ મહાત્માને માટે અમને વિચાર ફેરફાર પડી ગયા. મહીં વિચાર અમારે આવે નહીં, છતાં આવવા માંડ્યા એ માણસ માટે, એટલે મેં જાણ્યું શું થયું મહીં વળી પાછું આ નવું ? શું કારણથી આ એને માટે આ વિચાર આવે છે ? સારો માણસ છે ને એ બગડી ગયો છે કે શું છે તે ? અને પછી મહીંથી જવાબ મળ્યો કે એનાં ઉદય રાંઠા છે. એનાં ઉદય ફેવરેબલ નથી એનાં. તેથી એવું દેખાય છે. એટલે પછી અમે કૂણી લાગણી રાખીએ પછી. કારણ કે માણસને ઉદય ફેવર હોય ને કોઈને ફેવર ના યે પણ હોય. એવું બને ને ? પ્રશ્નકર્તા : બને. દાદાશ્રી : તે તો જગતમાં હોય જ. પણ આ તો અમને ટચ થતું હોય એવી વાત આવે, તો અમે એક બાજુ કૂણી લાગણી કરી નાખીએ. પ્રશ્નકર્તા : એટલે એવી રીતનાં કૂણી ? એ કેવી રીતનાં કરી નાખો કૂણી લાગણી ? દાદાશ્રી : એટલે જેવાં દેખાય એવું અમે માનીએ નહીં પછી. એ તો સારાં જ છે. (પા.૧૦૫)પ્રશ્નકર્તા : એટલે પછી વ્યવહારમાં તમે પછી શું કરો ? દાદાશ્રી : નિર્દોષ છે ને ! મેં તો વ્યવહાર નિર્દોષ જ જોયેલો છે. દોષિત કેમ દેખાય છે ? માટે ધેર આર કૉઝીઝ (ત્યાં કંઈ કારણ છે) નિર્દોષ જ જોયેલું છે બધું. બુદ્ધિથી દોષિત છે જગત અને જ્ઞાનથી જગત નિર્દોષ છે. તને હસબંડ નિર્દોષ નથી દેખાતા ? પ્રશ્નકર્તા : દેખાય છેને ! દાદાશ્રી : ત્યાર પછી હવે, પછી ભૂલ કાઢીએ એનો શો અર્થ છે ? આ ભૂલ તો ફક્ત આ પૂતળું પેલા પૂતળાની ભૂલો કાઢતું હોય તે આપણે જોયા કરવાનું. તે આ પ્રકૃતિ નિહાળવાની. ત્યાં સુધી ઉપરી મહીંવાળા ભગવાનઆમાં બીજા કોઈનું છે જ નહીં, ત્યાં આપણી જ ભૂલોનું ફળ આપણે ભોગવવાનું. માલકી આપણી, ઉપરીય કોઈ નહીં, મહીં બેઠા છે તે ભગવાન જ આપણા ઉપરી. એ શુદ્ધાત્મા એ ભગવાન. ફાઈલ વગરના શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય ને ફાઈલવાળા એ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા કહેવાય. જુઓને, તમને ફાઈલો છેને, નિરાંતે સમજી ગયાંને તરત કે ફાઈલવાળા શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા કહેવાય. પ્રશ્નકર્તા : તમારી સ્થિતિ પામવી છે, દાદા. બધી ફાઈલો હોય તોય અડે નહીં. દાદાશ્રી : એટલે હવે ફાઈલ સુધી આવ્યા છે. હવે ફાઈલનો ઉકેલ લાવી નાખવાનો બસ, એટલે પતી ગયું. બધું કામ પતી જાય છે. નથી હિમાલયમાં તપ કરવા પડ્યાં કે નથી ઉપવાસ કરવા પડ્યા. હિમાલયમાં તો તપ અનંત અવતાર સુધી કરે તોય કશું વળે નહીં. ઊંધે રસ્તે સહેજ જ ઊંધો રસ્તો હોય, પણ તે રસ્તે ગયા તો મૂળ જગ્યા ના આવે. કરોડ વર્ષ ફર્યા કરીએ તોય ના આવે ! (પા.૧૦૬)ભિન્નતા એ બન્નેના જાણપણામાંપ્રશ્નકર્તા : પ્રકૃતિનાં ગુણ-દોષ જે જુએ છે તે જોનારો કોણ છે ? દાદાશ્રી : એ જ પ્રકૃતિ છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિનો કયો ભાગ જુએ છે ? દાદાશ્રી : એ બુદ્ધિનો ભાગ, અહંકારનો ભાગ. પ્રશ્નકર્તા : તો પછી આમાં મૂળ આત્માનું શું કામ છે ? દાદાશ્રી : મૂળ આત્માને શું ? એને લેવાદેવા જ નહીં ને ! પ્રશ્નકર્તા : મૂળ આત્માનું જોવા-જાણવાપણું કઈ રીતના હોય ? દાદાશ્રી : એ નિર્લેપ હોય છે અને આ તો લેપીત છે. પ્રશ્નકર્તા : એટલે સારું-ખોટું જુએ છે એ લેપીતભાગ છે. દાદાશ્રી : હા, એ બધો લેપીતભાગ. પ્રશ્નકર્તા : આ બુદ્ધિએ પ્રકૃતિનું સારું-ખોટું જોયું, એ જે જુએ છે, જાણે છે એ પોતે છે ? દાદાશ્રી : પ્રકૃતિનો દોષ જુએ તો એ પ્રકૃતિ થઈ ગઈ. આત્મા નથી ત્યાં આગળ. આત્મા આવો નથી. એને કોઈનો દોષ ના દેખાય. પ્રશ્નકર્તા : એક-બીજાના દોષની વાત નથી કરતા, પોતે પોતાનાં દોષની વાત કરે છે. દાદાશ્રી : તે વખતે પ્રકૃતિ જ હોય. પણ એ ઊંચી પ્રકૃતિ, આત્માને પ્રાપ્ત કરાવનારી છે. પ્રશ્નકર્તા : અને પ્રકૃતિને નિર્દોષ જુએ છે, એ કોણ જુએ છે ? દાદાશ્રી : એ પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ જ પરમાત્મા છે, એ જ (પા.૧૦૭)શુદ્ધાત્મા છે. બીજા કશામાં હાથ જ નથી ઘાલતો ને ! પ્રશ્નકર્તા : નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળે છે ? દાદાશ્રી : એ આનંદ, એ મુક્તાનંદ કહેવાય ને ! પ્રશ્નકર્તા : એટલે પરિણામને વિશે કંઈ બોલતો જ નથી. દાદાશ્રી : પરિણામને, પ્રકૃતિના પરિણામને જોતો જ નથી. બે પ્રકારનાં પરિણામિક જ્ઞાન. એક છે તે પ્રકૃતિનું પરિણામિક જ્ઞાન અને એક આત્માનું પરિણામિક જ્ઞાન. પ્રકૃતિને તમે નિર્દોષ જુઓ એટલે એ પરિણામિક જ્ઞાન તમે પાસ થઈ ગયા. દોષિત જોયું એટલે તમે ગૂંચવાડો ઊભો કર્યો. પ્રશ્નકર્તા : પણ એ જેમ છે તેમ જોવામાં કયો સ્વાદ ચાખી રહ્યો છે ? દાદાશ્રી : એ તો એણે આનંદ ચાખી લીધેલો હોયને, પણ એ શું કહે છે, મારે આનંદની કંઈ પડેલી નથી, મને તો આ જેમ છે એમ જોવામાં પડેલી છે. એટલે અમે શું કહ્યું કે ‘જેમ છે એમ’ જુઓને ! એ છેલ્લામાં છેલ્લી વાત છે ! પ્રશ્નકર્તા : કયા જ્ઞાનપ્રકાશે કરીને એ દોષિત નથી જોતો ? દાદાશ્રી : એ કેવળજ્ઞાનના અંશોથી દોષિત નથી જોતો. પ્રશ્નકર્તા : એ કેવું જ્ઞાન ? દાદાશ્રી : એ કેવળજ્ઞાન. એથી અંતરાયપ્રશ્નકર્તા : સંપૂર્ણ આનંદ ક્યારે વર્તે ? બધા દોષો ગયા પછી જ ને ? દાદાશ્રી : આનંદ તો વર્તે જ છે. પણ દોષો છે તે અંતરાય કરે છે. એટલે એને લાભ નથી લેવા દેતા. આનંદ તો અત્યારેય છે, પણ ગોઠવણી કરતા નથી આપણે. (પા.૧૦૮)સંપૂર્ણ દોષરહિત દશા, દાદાનીપોતાના દોષ જોવામાં સુપ્રીમ કોર્ટવાળોય પહોંચે નહીં, ત્યાં તો પહોંચે જ નહીં જજમેન્ટ. ત્યાં તો પોતાનો આટલો દોષ જોઈ શકે નહીં. આ તો ગાડાંના ગાડાં દોષ જ્યાં કરે છે. આ તો સ્થૂળ, જાડું ખાતું, એટલે દોષો દેખાતા નથી. અને આટલો સહેજ અમથો વાળ જેટલો દોષ થાયને, તરત ખબર પડી જાય કે આ દોષ થયો. એટલે એ કેવી કોર્ટ હશે અંદર ? એ જજમેન્ટ કેવું ? છતાંય કોઈ જોડે મતભેદ નહીં. ગુનેગાર જોડેય મતભેદ નહીં. દેખાય ખરો ગુનેગાર, છતાં મતભેદ નહીં. કારણ કે ખરી રીતે એ ગુનેગાર છે જ નહીં. એ તો ‘ફોરેન’માં ગુનેગાર છે ને આપણે તો ‘હોમ’ સાથે ભાંજગડ છે. એટલે આપણે મતભેદ હોય નહીં ને ! દાદાને સ્થૂળ-સૂક્ષ્મ બે દોષો ગયેલા હોય. બીજાં જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ દોષો રહ્યા છે, એ જગતને બિલકુલ નુકસાનકારક કે નફાકારક હોય નહીં. જગતને સ્પર્શે નહીં, એવાં દોષ હોય. સ્થૂળ દોષો એટલે તમે મારી જોડે ચારેક મહિના રહોને, તોય તમને એકુંય દોષ ના દેખાય, ચોવીસ કલાક રહો તોય. આ નીરુબેન છે, તે નિરંતર સેવામાં રહે છે, પણ એક દોષ એમને જોવામાં આવ્યો ના હોય. એમને નિરંતર સાથે જ રહેવાનું. જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય ? જાગૃતિ ભૂલો સામે, જ્ઞાની તણીઅમારી જાગૃતિ ‘ટોપ’ પરની હોય. તમને ખબરેય ના પડે, પણ તમારી જોડે બોલતાં જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઈ જાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય તે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતાં જાય ને જેમ દોષો ઘટે તેમ ‘જાગૃતિ’ વધતી (પા.૧૦૯)જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે ‘જોઈએ’ છીએ અને ‘જાણીએ’. એ દોષ કોઈને હરકતકર્તા ના હોય પણ કાળને લઈને એ અટક્યા છે અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું ‘કેવળજ્ઞાન’ અટક્યું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે ! પણ અમે તમને પૂરું ૩૬૦ ડિગ્રીનું ‘કેવળજ્ઞાન’ કલાકમાં જ આપીએ છીએ પણ તમનેય પચશે નહીં. અરે, અમને જ ના પચ્યું ને ! કાળને લઈને ૪ ડિગ્રી ઊણું રહ્યું ! મહીં પૂરેપૂરું ૩૬૦ ડિગ્રી રિયલ છે અને રિલેટિવમાં ૩૫૬ ડિગ્રી છે. આ કાળમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી. કારણ કે મહીં અપાર સુખ વર્ત્યા કરે છે ! તેથી ‘અમારો’ ન ઉપરી કોઈજેને જેટલી ભૂલો ના દેખાય તેને તેટલી તે ભૂલો ઉપરી. જેની બધી જ ભૂલો ખલાસ થાય તેનો કોઈ ઉપરી જ નહીં. મારો કોઈ ઉપરી છે જ નહીં તેથી હું બધાંનો ઉપરી, ઉપરીનોય ઉપરી ! કારણ કે અમારામાં સ્થૂળ દોષો તો હોય જ નહીં. સૂક્ષ્મ દોષો પણ ચાલ્યા ગયેલા. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય, તેના અમે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. ભગવાન મહાવીર પણ આ જ કરતા હતા. માટે ‘જ્ઞાની’ દેહધારી પરમાત્માજ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય. આ દોષની તમને વ્યાખ્યા આપું. સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઈક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઈક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં એ દોષો કોઈને નુકસાન કરતાં નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તેય આ કળિકાળની વિચિત્રતાને લીધે ! (પા.૧૧૦)‘જ્ઞાની પુરુષ’ પોતે દેહધારીરૂપે પરમાત્મા જ કહેવાય. જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. મહીંથી ભગવાન દેખાડે દોષોજગત બે જાતની ભૂલ જોઈ શકે, એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો ‘જ્ઞાની પુરુષ’ પાસે ના હોય. પછી સૂક્ષ્મતર દોષો તે જ્ઞાનીઓને જ દેખાય. અને અમે સૂક્ષ્મતમમાં બેઠા છીએ. મારી જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલ હોય, જે કેવળજ્ઞાનને રોકતી હોય, કેવળજ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ ‘ભગવાન’ ‘મને’ દેખાડે. ત્યારે ‘હું’ જાણુંને, કે ‘મારો ઉપરી છે આ.’ એવી ના ખબર પડે ? આપણી ભૂલ દેખાડે એ ભગવાન ઉપરી ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : તેથી અમે કહીએ છીએને કે, આ ભૂલ જે અમને દેખાડે છે એ ચૌદ લોકનો નાથ છે. એ ચૌદ લોકના નાથનાં દર્શન કરો. ભૂલ દેખાડનાર કોણ છે ? ચૌદ લોકનો નાથ ! અને એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર. એની ગેરેન્ટી આપું છું. હું જ એમને ભજુ છું ને ! અને તમનેય કહું છું કે ‘ભઈ, તમે દર્શન કરી જાવ.’ દાદા ભગવાન ૩૬૦ ડિગ્રી ને મારે ૩૫૬ ડિગ્રી છે. એટલે અમે બે જુદાં છીએ, એ પુરવાર થઈ ગયું કે નહીં ? પ્રશ્નકર્તા : હાસ્તો ને ! દાદાશ્રી : અમે બે જુદા છીએ. મહીં પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, ઝળહળ જ્યોતિ સ્વરૂપ ! a a a (પા.૧૧૧)જગત નિર્દોષભગવાને ભાળ્યું જગ નિર્દોષપ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું. દાદાશ્રી : ભગવાને નિર્દોષ જોયું અને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું. એમને કોઈ દોષિત ન લાગ્યો. એવું મેં પણ નિર્દોષ જોયું છે અને મને પણ કોઈ દોષિત દેખાતો નથી. ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. પ્રશ્નકર્તા : નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : આખા જગતને નિર્દોષ જોશો ત્યારે ! મેં આખા જગતને નિર્દોષ જોયું છે, ત્યારે હું નિર્દોષ થયો છું. હિત કરનારને અને અહિત કરનારનેય અમે નિર્દોષ જોઈએ. કોઈ દોષિત નથી. દોષ એણે કર્યો હોય, તોય ખરી રીતે એના આગલા અવતારે કર્યો હોય. પણ પછી તો એની ઇચ્છા ના હોય છતાં અત્યારે થઈ જાય. અત્યારે એની ઇચ્છા વગર થઈ જાય છે ને ? ભરેલો માલ છે. એટલે એમાં એનો દોષ નહીંને, એટલે નિર્દોષ ગણ્યો. (પા.૧૧૨)કઈ દ્રષ્ટિએ જગ દીસે નિર્દોષપુદ્ગલને જોશો નહીં, પુદ્ગલ તરફ દ્રષ્ટિ ના કરશો. આત્મા તરફ જ દ્રષ્ટિ કરજો. કાનમાં ખીલા મારનારા તે પણ ભગવાન મહાવીરને નિર્દોષ દેખાયા. દોષિત દેખાય છે તે જ આપણી ભૂલ છે. એ એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ અને પછી માર ખાઈએ છીએ. મોક્ષે જતાં આ લોકો આપણને ગૂંચવે છે, એવું જે બોલીએ છીએ તે તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. આ ઈન્દ્રિય જ્ઞાનથી જે દેખાય છે એવું બોલીએ છીએ. પણ ખરેખર હકીકતમાં તો લોકો ગૂંચવી શકે જ નહીંને ! કારણ કે કોઈ જીવ કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખોડખલ કરી શકે જ નહીં એવું આ જગત છે. આ લોકો તો બિચારા પ્રકૃતિ જે નાચ કરાવે તે પ્રમાણે નાચે, એટલે એમાં કોઈનો દોષ છે જ નહીં. જગત આખુંય નિર્દોષ છે. મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે. તમને એ નિર્દોષ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા. નહીં તો કોઈ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટ્યા નથી. પ્રશ્નકર્તા : આમાં બધાંય જીવ આવી જાય ? માણસોય નહીં પણ કીડી મંકોડા બધાય આવી જાય ? દાદાશ્રી : હા. જીવમાત્ર નિર્દોષ સ્વભાવે દેખાવા જોઈએ. પ્રશ્નકર્તા : દાદા, તમે જીવમાત્ર નિર્દોષ છે એમ કહ્યું. હવે નોકરીમાં મેં ક્યાંક ભૂલ કરી અને મારો ઉપરી અમલદાર એમ કહે કે તેં આ ભૂલ કરી. પછી એ મને વઢશે, ઠપકો આપશે. હવે જો હું નિર્દોષ હોઉં તો ખરી રીતે મને ન વઢવું જોઈએ ને ? દાદાશ્રી : કોઈને વઢવાનું આપણે જોવાનું નહીં. આપણને વઢનાર પણ નિર્દોષ છે એવું તમારી સમજમાં હોવું જોઈએ. એટલે કોઈની પર દોષ ના ઢોળાય. જેટલા નિર્દોષ તમને દેખાશે એટલા તમે સમજમાં આવ્યા કહેવાઓ. મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે. એટલે આ (પા.૧૧૩)પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ. અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે. અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજેય ફ્રેક્ચર નહીં થવા દે. તત્ત્વ દ્રષ્ટિએ જગત નિર્દોષઅમે જગત આખાને નિર્દોષ જોઈએ છીએ. પ્રશ્નકર્તા : એવું આખા જગતને નિર્દોષ ક્યારે જોવાય ? દાદાશ્રી : તમને દાખલો આપી સમજાવું. તમે સમજી જશો. એક ગામમાં એક સોની રહે છે. પાંચ હજાર લોકોનું એ ગામ છે. તમારી પાસે સોનું છે તે બધું સોનું લઈને ત્યાં વેચવા ગયા. એટલે પેલો સોની સોનું આમ ઘસે, જુએ. હવે આપણું સોનું આમ ચાંદી જેવું દેખાતું હોય, છાસિયું સોનું હોય તોય પેલો વઢે નહીં. એ કેમ વઢતો નથી કે આવું કેમ બગાડીને લાવ્યા ? કારણ કે એની સોનામાં જ દ્રષ્ટિ છે. અને બીજા પાસે જાવ તો એ વઢે કે આવું કેમ લાવ્યા છો ? એટલે જે ચોક્સી છે એ વઢે નહીં. એટલે તમે જો સોનું જ માંગો છો. તો આમાં સોનું જ જુઓને ! એમાં બીજાને શું કામ જુઓ છો ? આટલું છાસિયું સોનું કેમ લાવ્યો ? એવી વઢંવઢા કરે, એનો ક્યારે પાર આવે ? આપણે આપણી મેળે જોઈ લેવાનું કે આમાં કેટલું સોનું છે અને એના આટલા રૂપિયા મળશે. તમને સમજાયુંને ? એ દ્રષ્ટિએ હું આખા જગતને નિર્દોષ જોઉં છું. સોની આ દ્રષ્ટિએ ગમે તેવું સોનું હોય તોય સોનું જ જુએને ? બીજું જોવાનું જ નહીંને ? અને વઢેય નહીં. આપણે એને બતાવવા ગયા હોઈએ તો આપણાં મનમાં થાય કે ‘એ વઢશે તો ?’ આપણું સોનું તો બધું ખરાબ થઈ ગયું છે ! પણ ના, એ તો વઢે-કરે નહીં. એ શું કહેશે, ‘મારી બીજી શી લેવાદેવા ?’ તે અક્કલહીણા છે કે અક્કલવાળા છે ? પ્રશ્નકર્તા : અક્કલવાળા જ કહેવાય ને ? દાદાશ્રી : આ સિમિલી બરોબર નથી ? (પા.૧૧૪)પ્રશ્નકર્તા : બરોબર છે. આવો દાખલો આપો તો ફીટ જલ્દી થઈ જાય. દાદાશ્રી : હવે આ દાખલો કોઈ જાણતું નથી કંઈ ? પ્રશ્નકર્તા : જાણતા હશે. દાદાશ્રી : ના, શી રીતે ખ્યાલમાં આવે ? આખો દહાડો ધ્યાન લક્ષ્મીજીમાં ને લક્ષ્મીજીનો વિષય પત્યો કે પાછા ઘેર બાઈસાહેબ સાંભર સાંભર થાય અને બાઈસાહેબનો વિષય પત્યો કે પાછા લક્ષ્મીજીના વિષય સાંભરે ! એટલે બીજું કશું ખ્યાલમાં જ ના રહેને ! પછી બીજાં સરવૈયા કાઢવાના જ રહી જાયને ? અમે ચોક્સીને જોયેલા, તે મને એમ થાય કે આ વઢતો કેમ નથી કે તમે સોનું કેમ બગાડી લાવ્યા ? એની દ્રષ્ટિ કેવી સુંદર છે ! કશું વઢતોય નથી. આનું સારું છે તેય બોલતો નથી. પણ એમ કહેશે, ‘બેસો, ચા-પાણી પીશોને ?’ અલ્યા, છાસિયું સોનું છે તોય ચા પીવડાવે છે ? એવું આમાંય. શું મહીં ‘ચોખ્ખું’ સોનું જ છેને ? તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી. જગત નિર્દોષ, પુરાવા સહિતઆપણે જગત આખું નિર્દોષ જોઈએ છીએ. આપણે જગત નિર્દોષ માનેલું છે. એ માનેલું કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે ? ઘડીમાં ફેરફાર થઈ જાય ? આપણે નિર્દોષ માનેલું છે, જાણેલું છે, એ કંઈ ઓછું દોષિત લાગવાનું ?! કારણ કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. હું એક્ઝેક્ટલી (જેમ છે તેમ) કહી દઉં છું. બુદ્ધિથી પ્રુફ (પુરાવા) આપવા તૈયાર છું. આ બુદ્ધિશાળી જગતને, આ જે બુદ્ધિનો ફેલાવો થયેલો છે, એમને પ્રુફ જોઈતું હોય તો હું આપવા માગું છું. શીલવાનના બે ગુણઅત્યારે હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) શીલવાન હોય નહીં. એ શીલવાન આ છેલ્લા પચ્ચીસસો વર્ષમાં નથી. છેલ્લા પચ્ચીસસો વર્ષોનાં જે કર્મો છે, એમાં (પા.૧૧૫)આ શીલવાન થઈ શકે જ નહીં માણસ. શીલ આવે ખરું પણ પૂર્ણતા ના આવે. પ્રશ્નકર્તા : પણ શીલની દિશામાં તો જવાયને ? દાદાશ્રી : હા, જવાય. પ્રશ્નકર્તા : તો એ જવા માટે શું કરવું ? મારો એક મોટામાં મોટો મૂંઝવતો પ્રશ્ન છે. એને માટે શું કરવું ? એ ખબર નથી પડતી. દાદાશ્રી : ટૂંકા વાક્યથી કામ લેવું કે કોઈ દુશ્મનના તરફ ભાવ પણ ન બગડે અને બગડ્યો હોય તો પ્રતિક્રમણથી સુધારી લો. બગડી જવો એ વસ્તુ નબળાઈને લઈને બગડી જાય. તો પ્રતિક્રમણથી સુધારી લો એને ! એમ કરતાં કરતાં એ વસ્તુ સિદ્ધ થશે. અને બીજું આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે, જગતમાં. દોષિત દેખાય છે, તે જ ભ્રાંતિ છે. કોઈ દોષિત નથી. એ ‘એના’ લક્ષમાં રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિથી સમજવું બહુ અઘરું છે. દાદાશ્રી : બુદ્ધિ સમજવા દે જ નહીં આ. કોઈ દોષિત નથી એ બુદ્ધિ સમજવા દે જ નહીં. પ્રશ્નકર્તા : તો એને માટે શું કરવું ? દાદાશ્રી : આ વાક્ય તો તમારા અનુભવમાં આવે તો અનુભવ જ તમને કહી આપશે. પહેલું આ વાક્ય શરૂઆત કરો. તો પછી એનો અનુભવ તમને કહી આપશે. એટલે પછી બુદ્ધિ ટાઢી પડી જશે. આ છે જ્ઞાનની પારાશીશીઆ જગતના સરવૈયા રૂપે તમે પૂછો કે આ જગતનું સરવૈયું શું છે ? ત્યારે કહે, ‘કોઈ પણ માણસ દોષિત છે જ નહીં જગતમાં. મનુષ્યોય દોષિત નથી, વાઘેય દોષિત નથી.’ એટલે આ જવાબ ઉપરથી આખી રકમ ખોળી (પા.૧૧૬)કાઢવાની છે. આ જવાબ શો કે આ જગત આખું નિર્દોષ સ્વરૂપે છે. જીવમાત્ર નિર્દોષ છે. દોષિત દેખાય છે તે પોતાની પેલી અજ્ઞાનતાથી. બોલો, હવે કેટલી ભૂલમાં હશો તમે ? પ્રશ્નકર્તા : ઘણી ભૂલમાં. દાદાશ્રી : જ્યારે જગત નિર્દોષ દેખાશે, તમારું ગજવું કાપતો હોય એ જ માણસ તમને નિર્દોષ દેખાય ત્યારે જાણવું કે કરેક્ટનેસ (યથાર્થતા) પર આવ્યું. એક રકમ આપ ધારશો ?સ્કુલમાં ભણતી વખતે એરિથમેટીકમાં (અંકગણિત) શીખવાડે છે ને માસ્તરો, કે કંઈ ના ફાવે તો સપોઝ (ધારો કે) ૧૦૦ એવું કહે છે ને ? નથી કહેતા, ૧૦૦ ધારો તો જવાબ આવશે. ત્યારે વળી આપણા મનમાં એમ થાય છે કે માસ્તરે ૧૦૦ ઉપર કંઈ જાદુ કર્યો લાગે છે. તો આપણે કહીએ કે ના હું તો સવાસો ધારું. ત્યારે કહે, તારે ધારવા હોય તો ધારને ! એવી ધારણાથી જવાબ આવે એવો છે. એવી એક રકમ હું ધારવાની કહું તમને ? આ જગતમાં કોઈ દોષિત જ નથી. જગત આખુંય નિર્દોષ છે. તમને દોષ દેખાય છે ? પ્રશ્નકર્તા : જોઈએ તો દેખાય. દાદાશ્રી : ખરેખર દોષ છે નહીં. છતાં દોષ દેખાય છે, એ જ આપણી અણસમજણ છે. લોકોના કિંચિત્માત્ર દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. આ રકમ ધારે અને એ રકમ ધારીને જવાબ લાવે તો જવાબ આવી જાય એવો છે. કોઈ દોષિત છે જ નહીં જગતમાં. તમારા દોષથી જ તમને બંધન છે. બીજા કોઈના દોષ છે જ નહીં. કોઈ તમારું નુકસાન કરે, કોઈ ગાળો ભાંડે, ઈન્સલ્ટ (અપમાન) કરે તો એનો દોષ નથી, દોષ તમારો જ છે. (પા.૧૧૭)દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિપ્રશ્નકર્તા : ક્યારેક એવું પણ બને છે કે એકની એક વ્યક્તિ આજે આપણને સારી લાગે. બીજે દિવસે તિરસ્કારયુક્ત લાગે. ત્રીજે દિવસે એ વ્યક્તિ આપણને મદદકર્તા પણ લાગે. તો એવું શાથી થાય ? દાદાશ્રી : એ વ્યક્તિમાં ફેરફાર દેખાય છે તે આપણો રોગ છે. વ્યક્તિમાં ફેરફાર હોતો જ નથી. માટે ફેરફાર દેખાય છે તે આપણો જ રોગ છે. અને અધ્યાત્મ એ જ કહે છે ને ! અધ્યાત્મ શું કહે છે ? તને જોતાં જ આવડતું નથી. અમથો, વગર કામનો વહુનો ધણી શાનો થઈ બેઠો છું ? એટલે આપણને જોતાં નહીં આવડવાથી આવું બધું થાય છે. બાકી આ ફેક્ટ વસ્તુ નથી. પોતાના માટે સામી વ્યક્તિ શું ધારતી હશે, એ શું ખબર પડે ? તમારા તરફ કોઈ માણસ અભાવ બતાવે તો તમને એના તરફ કેવું લાગે ? પ્રશ્નકર્તા : અભાવ બતાવે તો સારું ન લાગે. દાદાશ્રી : ત્યારે એવું તમે બીજાને અભાવ બતાડો તો શું થાય ? પ્રશ્નકર્તા : એ એક કોયડો છે કે આમનામાં મને સારો ભાવ દેખાય ને આ બીજાનામાં મને ખરાબ ભાવ દેખાય. દાદાશ્રી : ના, એ કોયડો નથી. અમે સમજીએ કે શું છે આ, એટલે અમને કોયડો ના લાગે. એક ભઈ મને રોજ પૂછે કે મને આ માણસમાં અવળા ભાવ કેમ દેખાય છે ? મેં કહ્યું, ‘એ માણસનો દોષ નથી, તમારો દોષ છે.’ પ્રશ્નકર્તા : પણ આપણે જો ખરાબ હોઈએ તો બધાંય ખરાબ દેખાવા જોઈએ. દાદાશ્રી : આપણે જ ખરાબ છીએ તેથી જ આ ખરાબ દેખાય છે. આ ખરાબ કોઈ છે જ નહીં. જે ખરાબ દેખાય છે તે તમારી ખરાબીને લીધે ખરાબ (પા.૧૧૮)દેખાય છે. ભગવાને આ જ શોધખોળ કરી અને તમે જે સારો કહો છો, તેય તમારી મૂર્ખાઈ મહીં છે, ફૂલીશનેસ છે. સારો સારો કહે પછી આપણે પૂછીએ ત્યારે કહેશે, ‘મને વિશ્વાસઘાત કર્યો.’ ત્યારે તું સારું-સારું કહેતો હતો શું કરવા તે ? સારો કહે ને દસ વર્ષ પછી કહે કે મને વિશ્વાસઘાત કર્યો એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને છે જ ને ! દાદાશ્રી : અને એવું જે ખોટું દેખાય છે તે સારું છે, એવુંય ના માનશો. જગ નિર્દોષ, અનુભવમાંપ્રશ્નકર્તા : સામો નિર્દોષ દેખાય એ જાગૃતિ સતત રહેવી જોઈએને ? દાદાશ્રી : નિર્દોષ દેખાતાં તમને બહુ વાર લાગશે. પણ તમારે દાદાએ કહ્યું છે, તેથી તમને નિર્દોષ દેખાય વખતે, તો તે કહેવા માત્રથી. પણ તમને એક્ઝેક્ટ (યથાર્થ) ના દેખાય. પ્રશ્નકર્તા : એવો અનુભવ ના થાય અમને ? દાદાશ્રી : અનુભવ ના આવે અત્યારે તમને. પ્રશ્નકર્તા : અમે મનમાં માની લઈએ કે હા, એ નિર્દોષ જ છે તો ? દાદાશ્રી : આ જ્ઞાન થયું પણ એ અનુભવ જ્યારે ત્યારે થશે, પણ અત્યારે તો આમ પહેલાં નક્કી કરી નાખ્યું એટલે આપણને ભાંજગડ નહીંને ! નિર્દોષ છે એવું કહીએ, એટલે આપણું મન બગડે નહીં પછી. કોઈકને દોષિત ઠેરવો કે તમારું મન પહેલું બગડે અને તમને દુઃખ આપે જ. કારણ કે દોષિત ખરેખર છે જ નહીં. તમારી અક્કલથી જ તમને દોષિત દેખાય છે અને એ જ ભ્રાંતિની જગ્યા છે. હા, હવે તમે મને કહે કહે કરો પણ હું કોની ફરિયાદ સાંભળું ?! પ્રશ્નકર્તા : હમણાં આપે શું કહ્યું કે તમે મને કહે કહે કરો. (પા.૧૧૯)દાદાશ્રી : હા, પણ આવી બધી વાત કરો છો, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો હતો, એવું તમને સમજણ પડી કે આ બધું ખોટું છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ ટાઈમ બધો નકામો ગયો. બધું નિર્દોષ છે એવું સમજ્યા કે ઉકેલ આવી ગયો. પ્રશ્નકર્તા : આપણું કોઈ ગજવું કાપે તો તરત આપણે એમ કહીએ કે આ મારા કર્મનો ઉદય થયો, તો તરત તે માણસ નિર્દોષ દેખાય. દાદાશ્રી : એટલું જો જ્ઞાનમાં આવી ગયું, આ મારા જ કર્મનો ઉદય છે, તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. પ્રશ્નકર્તા : એ અનુભવપૂર્વકનું કહેવાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આપણો કર્મનો દોષ છે એમ દેખાય તો ? દાદાશ્રી : હા, એ જ કે આ મારા જ કર્મનો ઉદય છે, એનો દોષ નથી આ. આ છે તે જાગૃતિ કહેવાય. અને એમ ને એમ તમે બોલો કે જગત આખું નિર્દોષ છે, એ હજુ તમને પૂરું અનુભવમાં નથી આવ્યું. એટલે આ અમુક બાબતમાં તમારું આવું ડીસાઈડ (નક્કી) થઈ જાય. અને અમુક બાબતો એવી રહેશે કે જેમાં ડીસીઝન (નિર્ણય) નહીં થાય એટલે તમારે માની જ લેવાનું. પછી છે તે ટાઈમ આવશે ત્યારે એ ડીસાઈડ થઈ જશે. આપણે જવાબ જાણતા હોય તો પછી હિસાબ લખતાં લખતાં આવી ગયાં એટલે ખબર પડી જાય. જવાબ જાણતા હોય તો સારુંને ! પ્રશ્નકર્તા : હા. હવે કોઈ પણ આપણને ફળ મળે કે કોઈ પણ કાર્ય થાય, પ્લસ કે માઈનસ (અધિક કે ઓછું) પણ એ આપણાં કર્મના આધીન (પા.૧૨૦)જ છે, એવું માની લેવામાં આવે... દાદાશ્રી : હા, બીજું કશું છે જ નહીં. આપણું જ છે બધું. માઈનસ કહો તોય આપણું અને પ્લસ કહો તોય આપણું. પણ વ્યવહારમાં આપણે પેલાને કહેવું જોઈએ કે ભઈ, તમે સારું કામ કરી બતાવ્યું એવું બોલવું જોઈએ અને ખરાબ કર્યું હોય તો એને એમ ન કહેવું જોઈએ કે તમે ખરાબ કર્યું. પ્રશ્નકર્તા : તો એને શું કહેવાનું ? દાદાશ્રી : એને કશું જ નહીં કહેવાનું. એના પ્રત્યે મૌન રહેવાનું. કારણ કે સારું ના કહીએ તો એને એન્કરેજમેન્ટ (પ્રોત્સાહન) ના મળે. એના મનમાં એમ થાય કે આ શેઠ તો કશું બોલતા જ નથી. એ તો એમ જ જાણે છે ને કે ‘મેં કર્યું આ !’ આપણા કર્મના ઉદયે એ કરે છે, એવું એ જાણતો નથી. એ તો કહેશે ‘મેં મહેનત કરીને કર્યું છે આ.’ તો આપણે ‘હા’ પાડવી પડે. અંતિમ દ્રષ્ટિએ જગ નિર્દોષપ્રશ્નકર્તા : હવે કોઈ માણસ એવો નાલાયક દેખાતો નથી ને પહેલાં મને નાલાયક સિવાય કોઈ દેખાતું ન હોતું. દાદાશ્રી : છે જ નહીં. એ તપાસ કર્યા પછી તો મેં કહ્યું કે આખું જગત મને નિર્દોષ દેખાય છે. પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા ના જોઈએ ત્યારે જ દોષિત દેખાયને ? દાદાશ્રી : દોષિત ક્યારે દેખાય કે શુદ્ધાત્મા ના જોઈએ એટલે દોષિત દેખાય ને બીજું એનું સરવૈયું નથી કાઢ્યું એણે. એક્ઝેક્ટલી (વાસ્તવિકમાં) જો સરવૈયું કાઢીએ તો એ પોતે જ કહે, દોષ જોનારો જ કહે, ભઈ મારી જ ભૂલ છે આ તો. એટલે આમ એકલું શુદ્ધાત્મા જોવાથીય કંઈ મટે નહીં. એ તો આગળ ને આગળ જ ચાલ્યા કરે. એટલે પદ્ધતિસર નિકાલ થવો જોઈએ. એટલે સરવૈયામાંથી નિકાલ થવો જોઈએ કે કઈ રીતે દોષ નથી એનો. હા એનો દોષ છે નહીં અને આ દેખાય છે કેમ ? (પા.૧૨૧)ભગવાન મહાવીરે કહ્યું કે આખું જગત નિર્દોષ છે, જે કંઈ ભૂલ હતી તે મારી જ હતી અને તે પકડાઈ ગઈ. અને તે મનેય પકડાઈ ગઈ મારી ભૂલ. અને હવે તમને શું કહું છું ? તમારી ભૂલ પકડો. હું બીજું કશું કહેતો જ નથી કંઈ. જે પતંગનો દોરો મારી પાસે છે તેવો પતંગનો દોરો તમારી પાસે છે. શુદ્ધાત્માનું જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું એટલે પતંગનો દોરો હાથમાં રહ્યો. પતંગનો દોરો હાથમાં ના હોય અને ગુલાંટ ખાય ને બૂમાબૂમ કરીએ, કૂદાકૂદ કરીએ, એમાં કશું વળે નહીં. પણ હાથમાં દોરો હોય તો ખેંચીએ તો ગુલાંટ ખાતો બંધ થઈ જાય કે ના થઈ જાય ? તે દોરો મેં તમારા હાથમાં આપેલો છે. એટલે તમારે આ નિર્દોષ જોવાનું છે. નિર્દોષ દ્રષ્ટિથી આમ શુદ્ધાત્મા જોઈને એને નિર્દોષ બનાવવો. એ થોડીવાર પછી પાછું મહીંથી બૂમાબૂમ કરશે. ‘આ આવું આવું કરે છે, એને શું નિર્દોષ જુઓ છો ?’ એટલે એક્ઝેક્ટલી નિર્દોષ જોવાનો અને જેમ છે તેમ એક્ઝેક્ટલી નિર્દોષ જ છે. કારણ કે આ જગત જે છે ને, તે તમને દેખાય છે એ બધું તમારું પરિણામ દેખાય છે, કૉઝીઝ નથી દેખાતા. હવે પરિણામમાં કોનો દોષ ? પ્રશ્નકર્તા : કૉઝીઝનો દોષ. દાદાશ્રી : કૉઝીઝના કરનારાનો દોષ. એટલે પરિણામમાં દોષ કોઈનો ના હોય. તે જગત પરિણામ સ્વરૂપ છે. આ તો એક મેં તમને નાનામાં નાનુ સરવૈયું કાઢતા શીખવ્યું. બીજા બહુ સરવૈયા છે બધા. કેટલાંય સરવૈયા ભેગાં થયાં ત્યારે મેં એક્સેપ્ટ કર્યું, જગત નિર્દોષ છે એવું. નહીં તો એમ ને એમ એક્સેપ્ટ થાય કંઈ ? આ કંઈ ગપ્પું છે ? તમે તમારી પ્રતીતિમાં લઈ જજો કે આ જગત નિર્દોષ છે, એમ સો ટકા છે, નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે. અને તેથી આ જગત ઊભું થયું છે બસ, ઊભું થવાના કારણમાં બીજું કોઈ કારણ નથી. જ્ઞાનદ્રષ્ટિથી જોવા જતાં જગત નિર્દોષ છે અને અજ્ઞાનતાથી જગત દોષિત દેખાય છે. જગત જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી ભટક ભટક કરવાનું. અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે. (પા.૧૨૨)જાણ્યું તો એનું નામ કહેવાયજાણ્યું તો એનું નામ કહેવાય કે ક્યારેય ઠોકર ના વાગે. ગજવું કપાય તોય ઠોકર ના વાગે. અને તમાચો મારે તોય ઠોકર ના વાગે, એનું નામ જાણ્યું કહેવાય. આ તો ‘હું જાણું છું, હું જાણું છું’, ગા ગા કરશે. એટલે હળદરની ગાંઠે ગાંધી થઈ બેઠાં છે. બાકી જાણ્યું તો એનું નામ કહેવાય કે અહંકાર નામેય ના રહે. ગજવું કાપી લે, તમાચા મારે તોય અસર ના થાય, ત્યારે એનું નામ જાણ્યું કહેવાય. આ તો ગજવું કાપી લેને તો ‘મારું ગજવું કાપી લીધું’, પોલીસવાળાને બોલાવો ! તે બૂમાબૂમ કરી મૂકે. અલ્યા શેનાં આધારે કપાયું તેની તને શી ખબર છે ? જ્ઞાની પુરુષ જાણે છે કે શેના આધારે કપાયું છે. ગજવું કાપનારો એમને ગુનેગાર ના દેખાય અને આમને તો ગજવાં કાપનારો ગુનેગાર દેખાય છે. જે ગજવું કાપનારો નિર્દોષ છે છતાં તમને ગુનેગાર દેખાય છે, માટે તમે હજુ તો કેટલાંય અવતાર ભટકશો. જે દેખવાનું તે ના દેખ્યું ને ઊંધું જ દેખ્યું ! જે ગુનેગાર નથી તેને ગુનેગાર દેખ્યો. જો આ ઊંધું જ્ઞાન શીખી લાવ્યા છે ! છતાં એ જે ધરમ કરે છે, ક્રિયાકાંડ કરે છે એ ખોટું નથી. પણ ખરી વાત, ખરી હકીકત તો જાણવી પડશે ને ? પેલો ગજવું કાપનાર તમને ગુનેગાર દેખાય ને ? એ તો બધા પોલીસવાળાનેય ગજવું કાપનારો ગુનેગાર દેખાય છે અને મજૂરોનેય એવું જ દેખાય છે, તો એમાં તમે શું નવું જ્ઞાન લાવ્યા ? એ તો નાના છોકરાંય જાણે છે કે આ ગજવું કાપ્યું છે. માટે ‘આ ગુનેગાર છે’ એવું નાના છોકરાંય કહે, બૈરા યે કહે ને તમેય કહો. તો તમારામાં અને બધાનામાં ફેર શો છે ? ‘હું જાણું છું, હું જાણું છું’ કહો છો. પણ લોકો કહે છે એવું જ જ્ઞાન તમારી પાસે છે ને ? એને જ્ઞાન કહેવાય જ કેમ ? બીજું નવું જ્ઞાન તમારી પાસે છે જ ક્યાં તે ? ‘જ્ઞાન’ એવું ના હોય ને ? દોષ દેખાડે, કષાય ભાવએક ક્ષણવાર કોઈ જીવ દોષિત થયો નથી. આ જે દોષિત દેખાય છે તે આપણાં દોષે કરીને દેખાય છે. અને દોષિત દેખાય છે એટલે જ કષાય (પા.૧૨૩)કરે છે. નહીં તો કષાય જ ના કરે ને ? દોષિત દેખાય છે એટલે ખોટું જ દેખાય છે. આંધળે આંધળા અથડાય છે, એના જેવી વાત છે આ. આંધળા માણસ સામસામી ટીચાય તે આપણે જાણીએ ને છેટે રહીને કહીએ કે, ‘આ આંધળા લાગે છે.’ આટલા બધા અથડાય એનું શું કારણ ? દેખાતું નથી. બાકી જગતમાં કોઈ જીવ દોષિત છે જ નહીં. આ તો બધું જે દોષ દેખાય છે તે તમારો છે. તેથી કષાય ઊભા રહ્યા છે. બીજાંના દોષ દેખાડે તે કષાયભાવનો પડદો છે. તેથી બીજાના દોષ દેખાય. શીંગડા જેવા કષાયભાવ હોય છે, તે વાળ્યા વળે નહીં. હવે ક્રોધ-માન-માયા-લોભ ‘ઓછાં કરો, ઓછાં કરો’ કહે છે. તે ઓછાં ક્યારે થાય ? એ ઓછાં થતાં હશે ? વાસ્તવિકતાનું જ્ઞાન હોય કે કોઈ દોષિત છે જ નહીં, તો પેલાં ક્રોધ-માન-માયા-લોભને ઓછા કરવાનું જ ના રહ્યું ને ! દોષિત દેખાય એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : વખતે પાછલાં ક્રોધ-માન-માયા-લોભને લીધે દોષિત દેખાય તો પ્રતિક્રમણ કરવું પડે. એટલે એ પછી ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે છે. ત્યાં કોને વઢશો ?હમણે ડુંગર ઉપરથી એક ઢેખાળો આટલો ગબડતો ગબડતો આવ્યો ને માથામાં વાગ્યો ને લોહી નીકળ્યું, તે ઘડીએ તમે કોને ગાળો દો છો ? ગુસ્સે કોની ઉપર થાવ છો ? ડુંગર પરથી આવડો મોટો પથરો પડ્યો હોય પણ પહેલું જોઈ લે કે કોઈએ ગબડાવ્યો કે કેમ ? કોઈ ના દેખાય અગર તો વાંદરે ગબડાવ્યો હોય તોય કશું નહીં. બહુ ત્યારે એને નસાડી મૂકે. એને શું ગાળો દે ? એનું નામ નહીં, નિશાન નહીં, ક્યાં દાવો માંડે ? નામવાળા ઉપર દાવો મંડાય, પણ વાંદરાભાઈનું તો નામ નહીં, કશું નહીં, કેમનો દાવો માંડે ? ગાળો શી રીતે ભાંડે ? (પા.૧૨૪)આમ તો મૂઢ માર ખાય છે પણ ઘરમાં એક જરાક આટલું ઊચું-નીચું થઈ ગયું હોય તો કૂદાકૂદ કરી મેલે ! તોય ભગવાનની ભાષામાં બધા નિર્દોષ છે. કારણ કે ઊંઘતા કરે એમાં એનો શો દોષ ? ઊંઘમાં કોઈ કહે, ‘તમે મારું આ બધું ઘર બાળી મૂક્યું ને બધું મારું નુકસાન કરી નાખ્યું ?’ હવે ઊંઘતો બોલે એને આપણે કેમનો ગુનો લગાડીએ ? નથી કોઈ દુશ્મન હવેપ્રશ્નકર્તા : જગત નિર્દોષ કયા અર્થમાં ? દાદાશ્રી : ઊઘાડા અર્થમાં ! આ જગતના લોકો નથી કહેતા કે આ અમારો દુશ્મન છે, મને આની જોડે નથી ફાવતું, મારા સાસુ ખરાબ છે. મને બધા નિર્દોષ દેખાય. પ્રશ્નકર્તા : પણ તમે તો કહો છો કે આપને કોઈ ખરાબ દેખાતો જ નથી. દાદાશ્રી : કોઈ ખરાબ છે જ શાનો ? એટલે ખરાબ શું જોવાનું ? આપણે સામાનો સામાન જોવાનો ! દાબડીને શું કરવાની ? દાબડી તો પિત્તળની હોય કે તાંબાની હોય કે લોખંડનીય હોય ! દુશ્મન દેખાય તો દુઃખ થાયને, પણ દુશ્મન જ ના દેખીએ ને ? અત્યારે તો તમારી દ્રષ્ટિ એવી છે, ચામડાંની આંખ છે. એટલે આ દુશ્મન, આ નથી સારો ને આ સારો કહેશે. આ સારો છે તે બે-ચાર વર્ષ પછી પાછો એને જ ખરાબ કહો. કહે કે ના કહે ? પ્રશ્નકર્તા : જરૂર કહે. દાદાશ્રી : અને મને આ વર્લ્ડમાં કોઈ દુશ્મન નથી દેખાતું. મને નિર્દોષ જ દેખાય છે બધા. કારણ કે દ્રષ્ટિ નિર્મળ થયેલી છે. આ ચામડાની આંખથી ના ચાલે, દિવ્યચક્ષુ જોઈએ. સાપ, વીંછીય છે નિર્દોષઆ દુનિયામાં કોઈ દોષિત છે જ નહીં. (પા.૧૨૫)પ્રશ્નકર્તા : ઉદયકર્મથી જ છે, જે છે તે, એ કારણે ને ? દાદાશ્રી : હા, જગત આખું નિર્દોષ છે જ. કઈ દ્રષ્ટિએ નિર્દોષ ? ત્યારે કહે, જો શુદ્ધાત્મા જોઈએ તો નિર્દોષ જ છે ને ! દોષિત કોણ છે ? બહારનું પુદ્ગલ ને ! આ જેને જગત માને છે. તે પુદ્ગલ... આપણે શું જાણવું છે કે એ પુદ્ગલ ઉદયકર્મને આધીન છે આજે. એને પોતાને આધીન નથી, પોતાની ઇચ્છા ના હોય તોય કરવું પડે આ. એટલે એ નિર્દોષ જ છે બિચારો. એટલે અમને આખું જગત નિર્દોષ જ... જીવમાત્ર નિર્દોષ દેખાય. જગત નિર્દોષ સ્વભાવે છે. આખુંય જગત નિર્દોષ છે. તમને બીજાના જે દોષ દેખાય છે તે તમારામાં દોષ હોવાથી જ દોષ દેખાય છે. જગત દોષિત નથી એ તમને જો દ્રષ્ટિ આવે તો જ તમે મોક્ષે જશો. જગત દોષિત છે એવી દ્રષ્ટિ આવે તો તમારે અહીં નિરાંતે પડી રહેવાનું છે. કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં ‘વ્યવસ્થિત’ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવા-દેવા ? આપણે ટીકા કરવાનું કોઈ કારણ છે ? આપણે એની જોડે નવા કરાર શું કામ બાંધીએ ? એને જે અનુકૂળ આવે તે એ કરે. આપણને તો મોક્ષ સાથે જ કામ છે. આપણને બીજા સાથે કામ નથી. અને જગતમાં અમને કોઈ દોષિત દેખાય નહીં. ગજવું કાપે તેય દોષિત ના દેખાય. એટલે જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય નહીં. સાપ હોય કે વીંછી હોય કે ગમે તે હોય, જે તમને દોષિત દેખાય છેને, એનો ભય તમને પેસી જાય. અને અમને દોષિત દેખાય જ નહીં. શા આધારે દોષિત નથી એ બધો આધાર અમે જ્ઞાનથી જાણીએ. આ દોષિત દેખાય છે એ તો ભ્રાંતદ્રષ્ટિ છે, ભ્રાંતિની દ્રષ્ટિ ! આ ચોર છે ને આ શાહુકાર છે, આ ફલાણો છે એ ભ્રાંતિની દ્રષ્ટિ. આપણું લક્ષ શું હોવું જોઈએ કે બધા જીવમાત્ર નિર્દોષ છે. આપણને દોષ દ્રષ્ટિથી દોષિત દેખાય છે. તે હજુ આપણી જોવામાં ભૂલ થાય છે એટલું સમજવું જોઈએ. ખરેખર કોઈ દોષિત છે જ નહીં, ભ્રાંતિથી દોષિત લાગે છે. મહાવીરેય જોયાં સ્વદોષચોર તમારું ગજવું કાપે છતાંય એ તમને દોષિત ના દેખાય એવા કેટલાં (પા.૧૨૬)બધા કારણો થશે ત્યારે મોક્ષ થશે. આત્મજ્ઞાન થયા પછી એવી દ્રષ્ટિ થશેને, તો જ મોક્ષ થાય, નહીં તો મોક્ષ થાય નહીં. જોવા જાય તો, આ તો જે દોષિત દેખાય છે, તે તમારી બુદ્ધિ તમને ફસાવે છે. બાકી દોષિત કોઈ છે જ નહીં આ જગતમાં ! આપણામાં બુદ્ધિથી એમ લાગે કે આણે તો આખી જિંદગીમાં કશું આવું પાપ કર્યું નથી ને એને આવું ? ત્યારે કહે, ના, એ કેટલાય અવતારના પાપ, હવે ચીકણા પાપ હોયને તે પાકે મોડા. તમે એક અત્યારે આવું ચીકણું કર્મ બાંધ્યું તે પાંચ હજાર વર્ષે પાપ પાકે. વિપાક થતાં તો બહુ ટાઈમ જાય છે. અને કેટલાંક કૂણાં કર્મ હોય તે સો વર્ષે પાકી જાય, તેથી આપણા લોકો કહે છેને સરળ માણસ છે, સારો માણસ છે. સરળના કર્મો બધા ચીકણાં ના હોય. અને કર્મ એનો વિપાક થયા વગર ફળ આપે નહીં. આંબાની કેરીઓ આવડી પણ એનો રસ ન નીકળે ? વિપાક થવો જોઈએ. આ જ્ઞાન થયા પછી દોષિત અમનેય કોઈ માણસ, કોઈ જીવ દેખાયો નથી. જ્યારે આ દ્રષ્ટિ મળશે ત્યારે મહાવીર દ્રષ્ટિ થઈ છે એમ નક્કી થશે. જેની દ્રષ્ટિમાં કોઈ દોષિત દેખાતો નહોતો. ભગવાનને અહીં આગળ કાનમાં બરૂં માર્યું તો કોણ દોષિત દેખાયું હતું ? પ્રશ્નકર્તા : સ્વકર્મ. દાદાશ્રી : સ્વકર્મ દેખાયા. દેવોએ માકણ પાડ્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું. તોય દોષિત કોણ દેખાયું ? સ્વકર્મ. મહાવીર ભગવાનનેય પેલા લોકોએ બરૂ માર્યું હતું તે તરત જ જ્ઞાનમાં જોયું કે શાનું પરિણામ આવ્યું ! એટલે કાનમાં બરૂ માર્યા તેનેય નિર્દોષ જોયા હતા ! કોઈનો દોષ તો કાઢવા જેવો જગતમાં છે જ નહીં. અમે ક્યારેય કોઈનો દોષ કાઢીએ નહીં. કોઈનો દોષ હોતોય નથી. ભગવાનેય નિર્દોષ જોયાં છે. તે વળી આપણે દોષ કાઢનારા કોણ ? એમનાથી ડાહ્યા વળી પાછાં ? ભગવાન કરતાં ડાહ્યા ? ભગવાનેય નિર્દોષ જોયાં છે. (પા.૧૨૭)જગતમાં કોઈને દોષિત જોયું નથી, એનું નામ મહાવીર અને મહાવીરનો ખરો શિષ્ય કોણ કે જેને લોકોના દોષ દેખાતા ઓછાં થવા માંડ્યા છે. સંપૂર્ણ દશાએ ના થાય, પણ દોષ દેખાતા ઓછા થવા માંડ્યા છે. અભેદ દ્રષ્ટિ છતાં થાય વીતરાગઆ તમને દોષિત દેખાય છે એનું શું કારણ છે કે તમારી દ્રષ્ટિ વિકારી થયેલી છે. મારા-તારાની બુદ્ધિવાળી છે. આ મારું ને આ તારું એવા મારા-તારાના ભેદવાળી છે ! જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી. અમને કોઈની જોડે જુદાઈ નથી. અભેદ દ્રષ્ટિ થઈ એ ભગવાન કહેવાય. આ અમારું ને આ તમારું એ સામાજિક ધર્મો હોય બધા. આ સામાજિક ધર્મોએ તો ગૂંચવાડો ઊભો કર્યો છે ને ધર્મ પાળતા જાય ને ચિંતા વધતી જાય. ગચ્છમતની જે કલ્પના...બાકી આ કૃપાળુદેવે કહ્યું છે કે ‘ગચ્છમતની જે કલ્પના તે નહીં સદ્વ્યવહાર.’ કલ્પના તે કલ્પના જ નહીં, પણ એ જ છે તે આવરણ સ્વરૂપે થઈ પડ્યું. છતાંય ભગવાને એને ધર્મ કહ્યો. એ એની જગ્યાએ ધર્મમાં જ છે. તમે ડહાપણ ના કરશો એ જે કરી રહ્યો છે, એ એની જગ્યાએ ધર્મમાં જ છે. માટે તમે ડાહ્યા ના થશો. તારું ખોટું છે, એવું કોઈનેય ક્યારેય ના કહેવાય. એનું નામ નિષ્પક્ષપાતી. ‘તારું ખોટું છે’ આ તો શેને માટે આપણે કહીએ છીએ કે તમને સમજવા માટે, આ બીજા લોકોની વાત કરીએ છીએ. બીજા લોકોની ટીકા કરવા માટે વાત નહીં કરવાની. ટીકા હોય જ નહીં કોઈ જગ્યાએ અને જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં. આ ફલાણા સંપ્રદાયનો હો કે આ ફલાણા સંપ્રદાયનો હો, પણ કોઈની ટીકા નહીં. ભગવાન શું કહે છે ? નિષ્પક્ષપાતીને આપણે પૂછીએ કે સાહેબ આપનું શું કહેવું છે ? આ લોકો અમને અંધા લાગે છે. ત્યારે કહે, એ તમારી (પા.૧૨૮)દ્રષ્ટિમાં ગમે તે ખરું, પણ એ એમની જગ્યાએ સાચા છે. ત્યારે કહે, ચોર ચોરી કરે છે તે ? તે એ એની જગ્યાએ સાચા છે. તમે શા માટે ડહાપણ કરો છો ? તમે ફક્ત એને નિર્દોષ દ્રષ્ટિથી જુઓ. તમારી પાસે જો નિર્દોષ દ્રષ્ટિ હોય તો એનાથી તમે જુઓ. નહીં તો બીજું જોશો નહીં. અને બીજું જોશો તો માર્યા જશો. જેવું જોશો એવું થઈ જશે. જેવું જોશો એવા તમે થઈ જશો. શું ખોટું કહે છે ? આ વીતરાગો ડાહ્યા છે ને ! આ તમને લાગે છે ને ? અહીં તો આ વૈષ્ણવ ધર્મના લોકો વીતરાગનો ધર્મ પામવા આવ્યા છે, તે એમને લાગ્યું કે આવા વીતરાગો હતા ! ત્યારે મેં કહ્યું, આવાં વીતરાગો હતા. ત્યારે કહે, આવું તો સાંભળ્યું જ ન હોતું મેં. તેથી આ દેરાસરમાં પેસે છેને, સીમંધર સ્વામીના દર્શન કરે છેને, ઉલ્લાસભેર ! પ્રશ્નકર્તા : આ તો તમે બહુ ભારે કહ્યું, જેવું જોશો તેવું થઈ જશો. દાદાશ્રી : હા. એવું જોશો તો તમે તે રૂપ થઈ જશો. એટલે મેં બીજુ કોઈ દહાડોય જોયું નથી. દોષિત જોવાય જ નહીં. સ્વરૂપ જે ઊંધું દેખાય છે, આપણે એને ફેરવી નાખવું જોઈએ કે આમ કેમ દેખાયું ? આજનું દર્શન ને ગત ભવની રેકર્ડઅમને જગત આખું નિર્દોષ દેખાય છે. પણ તે શ્રદ્ધામાં છે. શ્રદ્ધામાં એટલે દર્શનમાં અને અનુભવમાં આવ્યું છે કે નિર્દોષ જ છે. છતાં વર્તન, જે છૂટતું નથી હજુ ! અત્યારે કોઈ ફલાણા સંતની અવળી વાત આવી. એ ગમે તેવાં હોય તો પણ તમારે તો એ નિર્દોષ જ દેખાવા જોઈએ. છતાં અમે પેલું બોલીએ કે આ આવાં છે, આવાં છે એ ના બોલાય. અમારી શ્રદ્ધામાં એ નિર્દોષ છે, જ્ઞાનમાં આવી ગયેલું છે કે નિર્દોષ છે, છતાં બોલાય છે. વર્તનમાં બોલાય છે. એટલે આ ટેપરેકર્ડ કહીએ છીએ એને !! ટેપરેકર્ડ થઈ ગઈ, એને શું થાય ? પણ ટેપરેકર્ડ ઇફેક્ટિવ છે ને બધી એટલે પેલાને તો એમ જ થાય ને કે હમણે આ દાદા જ બોલ્યા. (પા.૧૨૯)પ્રશ્નકર્તા : અને એ બોલતી ઘડીએ આ ભૂલ કહેવાય, એવું અંદર હોય ખરું ? દાદાશ્રી : હા. બોલતી ઘડીએ, ઓન ધી મોમેન્ટ (તત્ક્ષણ) ખબર હોય. આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું બોલાય છે. પ્રશ્નકર્તા : એ બરોબર છે પણ પેલા સંતની આ ભૂલ કહેવાય, એવું જે બોલાઈ રહ્યું છે તે વખતે એવી ખબર હોયને કે એમની આ અપેક્ષાએ આવી ભૂલ કહેવાય ? દાદાશ્રી : હા. કઈ અપેક્ષાએ એમની ભૂલ કહેવાય એ જાણીએ, પણ એ માન્યતા તો પહેલાની હતી ને ! આ બધું એ પહેલાનું જ્ઞાન હતું. એટલે આજની ટેપરેકર્ડ નથી આ. પ્રશ્નકર્તા : એટલે પહેલાનું જ્ઞાન આ ટેપમાં, બોલવામાં હેલ્પ કરે છે ? દાદાશ્રી : હા. અને હજુ તો એ અત્યારે બોલી જ રહ્યું છે. પણ લોક તો એમ જ જાણે ને કે આજે દાદા બોલ્યા, હમણે દાદા બોલ્યા પણ હું જાણું કે આ પહેલાનું છે. એટલે તોય અમને ખેદ તો થયા કરે ને ! આવું ના નીકળવું જોઈએ. એક અક્ષરેય નીકળવો ના જોઈએ. પ્રશ્નકર્તા : હવે આવું જો જેમ છે તેમ ના બોલો, તો સાંભળનારા બધા ગેરમાર્ગે દોરાય, એવું બને ને ? દાદાશ્રી : સાંભળનારાઓ ? પણ એ બુદ્ધિનો ડખો જ ને ! વીતરાગતાને ડખો નહીં ને કશો ! પ્રશ્નકર્તા : પણ સાંભળનારાઓ તો બુદ્ધિને આધીન જ હોય છેને ? દાદાશ્રી : હા. પણ મારી બુદ્ધિમાં આ સાંભળનારને નુકસાન થશે એટલે નુકસાન ને નફો, પ્રોફીટ એન્ડ લોસ જોયાને ? પ્રોફીટ એન્ડ લોસ તો બુદ્ધિ દેખાડે કે સામાને નુકસાન થશે ! છતાં અત્યારે અમે આ સંતનું બોલ્યા પણ આજે આ કામનું નથી. પણ તે દહાડે અમે એવું નહોતા માનતા (પા.૧૩૦)કે આ જગત આખું નિર્દોષ છે. પ્રશ્નકર્તા : તે વખતે બુદ્ધિનો ડખો હતો, એવું થયુંને ? દાદાશ્રી : હા. તે દહાડે બુદ્ધિનો ડખો હતો. ‘એટલે આ ડખા જાય નહીંને, જલ્દી ? પ્રશ્નકર્તા : એટલે બધું વર્તન પહેલાંના જ જ્ઞાનને લઈને છેને ? દાદાશ્રી : પહેલાં બુદ્ધિ જ્યાં સુધી હતીને, ત્યાં સુધી આ કોચેલું. પણ બુદ્ધિ ગયા પછી કોચે નહીંને ! નહીં તો બુદ્ધિ દરેકને કોચ્યા કરે. બુદ્ધિ હંમેશાય જ્યાં સુધી છે ત્યાં સુધી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ચાલ્યા જ કરે. પ્રશ્નકર્તા : અને સિદ્ધાંત મૂક્યો છેને કે આ નિર્દોષ છે. દાદાશ્રી : એટલે છે નિર્દોષ ને શા માટે આવું થાય છે ? અમે આ ઊઘાડું કહીએ છીએ કે જગત આખું નિર્દોષ છે. અને એક બાજુ આ શબ્દો આવા નીકળે છે. આશ્ચર્યકારી અજાયબ પદ, અક્રમ જ્ઞાનીનુંઆ તો બધુ સાયન્સ છે. આ ધર્મ નથી. ધર્મ તો બધા બહાર ચાલે છે ને એ બધા ધર્મ કહેવાય. એ રિલેટીવ ધર્મો છે. રિલેટીવ એટલે નાશવંત ધર્મો અને આ તો ‘રિયલ’ તરત મોક્ષફળ આપનારો તરત જ મોક્ષનો સ્વાદ ચખાડી દે. આવો મોક્ષમાર્ગ ચાખ્યો, સ્વાદમાં આવી ગયો, અનુભવમાં આવી ગયો. ‘જગત આખું નિર્દોષ છે’ એવું તમને સમજવામાં આવ્યું, જ્યારે ભગવાન મહાવીરને એ અનુભવમાં હતું. કોઈ વખત તમને સમજણ ના પડે ને કોઈક વખત ભાંજગડ થઈ જાય તોય પણ તે તરત પાછું જ્ઞાન હાજર થઈ જાય કે એનો શો દોષ ? ‘વ્યવસ્થિત’ છે એ સમજાય. નિમિત્ત છે સમજાય. બધું સમજાઈ જાય. હૃદય ભગવાનને અનુભવમાં હતું. અમને આ સમજમાં છે. સમજ અમારા (પા.૧૩૧)જેવી રહેને ! એક્ઝેક્ટ હાજર, શૂટ ઓન સાઈટ સમજ રહે તે અમારું આ કેવળ દર્શન કહેવાય. તમારું કેવળ દર્શન હજી થઈ રહ્યું છે. કેવળજ્ઞાન થાય એવું નથી તો આપણે એને શા માટે બોલાવીએ ? જે થાય એવું ના હોય એને કહીએ, ‘પધારો, પધારો’ તો શું થાય ? કેવળ દર્શન કંઈ ઓછું પદ કહેવાય ? વર્લ્ડની અજાયબી પદ કહેવાય !!! આ દુષમકાળમાં કેવળ દર્શન તો ગજબનું પદ કહેવાય. સુષમકાળમાં તીર્થંકરના વખતના પદ કરતાં આ પદ ઊંચું કહેવાય. કારણ કે અત્યારે તો ત્રણ ટકાએ પાસ કર્યા હતા, મહાવીર ભગવાનના વખતમાં તેત્રીસ ટકે પાસ કરતા હતા. ‘જગત આખું નિર્દોષ છે’ એવું સમજમાં આવી ગયું ! ન દેખે દાદા દોષ કોઈનાતમારા દોષો પણ અમને દેખાય પણ અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય પણ એની અમને અસર થાય નહીં, તેથી જ કવિએ લખ્યું છે કે, ‘મા કદી ખોડ કાઢે નહીં, દાદાનેય દોષ કોઈના દેખાય નહીં.’ મને અત્યારે કોઈ ગાળો ભાંડે પછી કહેશે, ‘સાહેબ, મને માફ કરો.’ અરે, ભઈ, માફ અમારે કરવાનું ના હોય. માફ તો અમારા સહજ ગુણમાં જ હોય. સહજ સ્વભાવ જ અમારો વણાઈ ગયેલો કે માફી જ બક્ષે. તું ગમે તે કરું તોય માફી જ બક્ષે. જ્ઞાનીનો એ સ્વાભાવિક ગુણ થઈ જાય છે. અને તે આત્માનો ગુણ નથી એ, નથી દેહનો ગુણ, એ વ્યતિરેક ગુણો છે બધા. આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા એટલે સુધી પહોંચ્યો. છતાં આ આત્માના ગુણો નથી. આત્માના પોતાના ગુણો તો ત્યાં ઠેઠ જોડે જાય છે, એ બધા ગુણો આત્માના. અને વ્યવહારમાં આ આપણે કહ્યાં તે લક્ષણ છે એનાં. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામે હસે ત્યારે આપણે જાણીએ છીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે વાત બરાબર છે. (પા.૧૩૨)તમારી નિર્બળતા અમે જાણીએ છીએ. અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય, સહજપણે. સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું નહીં પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધે-ઘટે એ પ્રેમ ન હોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે-ઘટે નહીં એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે. ત્યારે પ્રગટે મુક્ત હાસ્યપ્રશ્નકર્તા : એક અક્ષરેય આપનો પહોંચે તો નિર્દોષતા આવી જાય. દાદાશ્રી : અને અમારો અક્ષરેય પહોંચતા વાર નથી લાગતી. આ જ્ઞાન જે આપેલું છેને, એટલે એક અક્ષરેય પહોંચવામાં વાર નથી લાગતી. જગત આખું નિર્દોષ દેખાશે ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થશે. ભાર વગરનું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય જ નહીં એવો નિયમ છે. એક પણ માણસ દોષિત દેખાયને, ત્યાં સુધી હાસ્ય ઉત્પન્ન ના થાય. અને મુક્ત હાસ્યથી માણસ કલ્યાણ કરી નાખે. મુક્ત હાસ્યના એક ફેરો દર્શન કરેને તોય કલ્યાણ થઈ જાય ! એ તો હવે પોતે તે રૂપ થવું પડશે. પોતે થાય તો બધું રાગે પડી જાય. હંમેશા પર્સનાલીટી જ કંઈ એકલી કામ નથી કરતી. પોતાનું જે ચારિત્ર એ બહુ મોટું કામ કરે. તેથી જ તો શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાની પુરુષ એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ઊભું રાખે. કારણ કે ચારિત્રબળ છે. ચારિત્રબળ એટલે શું ? નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ દ્રષ્ટિ દાદા પાસે સાંભળી અને હજુ પ્રતીતિમાં બેઠી છે. અમને અનુભવમાં હોય. પ્રતીતિ તમને બેઠી છે ખરી, પણ હજુ વર્તનમાં આવતાં વાર લાગેને ? બાકી માર્ગ આ છે. માર્ગ સહેલો છે ને કશો વાંધો આવે એવો નથી. જય સચ્ચિદાનંદ |