દાદા ભગવાન પ્રરૂપિત
પ્રતિક્રમણ
સંકલન : ડૉ. નીરુબેન અમીન
સંપાદકીય(પા.૭)હૃદયથી મોક્ષમાર્ગે જનારાઓને, પળે પળે પજવતા કષાયો મૂળથી ઉખેડવા, માર્ગમાં આગેકૂચ કરવા, કોઈ સચોટ સાધન તો જોઈએ કે ના જોઈએ ? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અથડામણો કઈ ગમે ટાળે ? આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું ? કષાયોની બોંબાર્ડીંગને રોકવા કે તેને ફરી ના થાય તે માટે શું ઉપાય ? આટઆટલો ધર્મ કર્યો, જપ, તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા છતાં, મન-વચન-કાયાથી થઈ જતાં દોષો કેમ નથી અટકતા ? અંતરશાંતિ કેમ નથી થતી ? ક્યારેક નિજદોષો દેખાય પછી તેનું શું કરવું ? તેને કેમ કરીને કાઢવા ? મોક્ષમાર્ગમાં આગળ વધવા તેમ જ સંસારમાર્ગમાં પણ સુખ-શાંતિ, મંદ કષાય કે પ્રેમભાવથી જીવવા કંઈક નક્કર સાધન તો જોઈએ ને ? વીતરાગોએ ધર્મસારમાં જગતને શું પ્રરૂપ્યું છે ? સાચું ધર્મધ્યાન કયું ? પાપમાંથી પાછા ફરવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો ? હોય તો કેમ દેખાતો નથી ? ધર્મશાસ્ત્રોમાંથી ઘણું વંચાય છે, છતાં કેમ એ જીવનમાં વર્તાતું નથી ? સાધુ, સંતો, આચાર્યો, કથાકારો આટઆટલો ઉપદેશ આપે છે છતાં શું ખૂટે છે ઉપદેશ પરિણમાવવામાં ? દરેક ધર્મમાં કેટકેટલી ક્રિયાઓ કરાય છે ? કેટકેટલાં વ્રત, જપ, ધ્યાન, તપ, નિયમો પ્રવર્તી રહ્યા છે, છતાં કેમ કંઈ ઊગતું નથી ? કષાય કેમ ઘટતા નથી ? દોષો કેમ ધોવાતા નથી ? શું એની જવાબદારી ઉપદેશકોના શીરે નથી જતી ? આવું લખાય છે, તે ટીકા કે દ્વેષભાવથી નહીં, પણ કરુણાભાવથી, છતાંય એને ધોવા માટે કંઈ ઉપાય ખરો કે નહીં ? અજ્ઞાન દશામાંથી જ્ઞાનદશા ને ઠેઠ કેવળજ્ઞાન સ્વરૂપની દશા સુધી જવા માટે જ્ઞાનીઓએ, તીર્થંકરોએ શું ચીંધ્યું હશે ? ઋણાનુબંધી વ્યક્તિઓ સાથે કાં તો રાગ કે દ્વેષના બંધનોથી મુક્તિ મેળવી વીતરાગતા કઈ રીતે કેળવાય ? ‘મોક્ષનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ’ પણ શૂરાતન (પા.૮)ક્યાં વાપરવાનું કે જેથી મોક્ષે ઝટોઝટ પુગાય ? કાયરતા કોને કહેવી ? પાપીઓ પુણ્યશાળી બની શકે ? તો કઈ રીતે ? આખી જિંદગી જલી આ RDXની અગનમાં, તેને કઈ રીતે બુઝાવાય ? રાતદિન પત્નીનો પરિતાપ, પુત્ર-પુત્રીઓનો સંતાપ ને પૈસા કમાવાનો ઉત્તાપ એ બધા તાપોમાંથી કઈ રીતે શાતા પ્રાપ્ત કરી તરી પાર ઉતરાય ? ગુરુ-શિષ્યો વચ્ચે, ગોરાણી-ચેલીઓ વચ્ચે, નિરંતર કષાયોથી અધોગતિની વાટે ચઢતા ઉપદેશકો કઈ રીતે પાછા વળી શકે ? અણહક્કની લક્ષ્મી ને અણહક્કની સ્ત્રીઓ પાછળ વાણી, વર્તન કે મનથી કે દ્રષ્ટિથી દોષો થયા તેનો તિર્યંચ કે નર્કગતિ સિવાય ક્યાં સંઘરો થાય ? એમાંથી કેમનું છૂટાય? એમાંથી ચેતવું છે તો કઈ રીતે ચેતાય ને છૂટાય ? આવા અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોના ઉકેલ શું હોઈ શકે ? પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલો કરવી નથી છતાં ભૂલો થાય છે અને ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી, એવી પરિસ્થિતિમાં દિલના સાચા પુરુષો સતત મૂંઝવણ અનુભવતા હોય છે, તેવાંઓને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જડી જાય, જેનાથી પોતાના આંતરિક સુખચેનમાં રહી પ્રગતિ સાધી શકાય. તે અર્થે ક્યારેય ના મળ્યું હોય તેવું અધ્યાત્મ વિજ્ઞાનનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનરૂપી એકમેવ સચોટ હથિયાર તીર્થંકરોએ, જ્ઞાનીઓએ જગતને અર્પ્યું છે, જે હથિયાર દ્વારા દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળિયા સહિત નિર્મૂલન કરી અનંતા જીવો મોક્ષલક્ષ્મીને વર્યા છે, તેવા મુક્તિ માટેના આ પ્રતિક્રમણરૂપી વિજ્ઞાનનો યથાર્થપણે જેમ છે તેમ ફોડ પ્રગટ જ્ઞાનીપુરુષ શ્રી દાદા ભગવાને કેવળજ્ઞાન સ્વરૂપમાં જોઈને કહેલી વાણી દ્વારા આપ્યો છે, તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થયો છે, જે સુજ્ઞ વાચકને આત્યંતિક કલ્યાણ અર્થે ઉપયોગી નિવડશે. (પા.૯)જ્ઞાનીપુરુષની વાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તથા ભિન્ન ભિન્ન નિમિત્તને આધીન નીકળેલી હોય, તે વાણીની સંકલનમાં ભાસિત ક્ષતિઓ ક્ષમ્ય ગણી જ્ઞાની પુરુષની વાણીનો અંતર આશય પામવા જ અભ્યર્થના ! જ્ઞાની પુરુષની જે વાણી નીકળી છે, તે નૈમિત્તિક રીતે મુમુક્ષુ-મહાત્મા જે સામે આવે તેના સમાધાન અર્થે નીકળેલી હોય છે અને તે વાણી જ્યારે ગ્રંથરૂપે સંકલિત થાય ત્યારે ક્યારેક વિરોધાભાસ ભાસે. જેમ કે એક પ્રશ્નકર્તાની આંતરિક દશાના સમાધાન અર્થે જ્ઞાની પુરુષનો ‘પ્રતિક્રમણ એ જાગૃતિ છે અને અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે.’ એવો પ્રત્યુતર પ્રાપ્ત થાય. અને જે સૂક્ષ્મ જાગૃતિની દશાએ પહોંચેલા મહાત્માના ઝીણવટના ફોડ સામે જ્ઞાનીપુરુષ એવો ખુલાસો આપે કે ‘અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે ને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જને ડિસ્ચાર્જથી ભાંગવાનું છે.’ તો બન્ને ખુલાસા નૈમિત્તિક રીતે યથાર્થ જ છે. પણ સાપેક્ષ રીતે વિરોધાભાસ ભાસે. આમ પ્રશ્નકર્તાની દશા ફેર હોવાને કારણે પ્રત્યુત્તરમાં વિરોધાભાસ ભાસે છતાં સૈદ્ધાંતિક રીતે એમાં વિરોધાભાસ છે જ નહીં. સુજ્ઞ વાચકોને જ્ઞાનવાણીની સૂક્ષ્મતા પામી વાતને સમજવા અર્થે સહજ સૂચન અત્રે સૂચવ્યું છે. - ડૉ. નીરુબેન અમીન નોંધ : (૧) પ્રસ્તુત ગ્રંથમાં સ્વરૂપ જ્ઞાન નહીં પામેલાઓના પ્રશ્નો મુમુક્ષુ : તરીકે પૂછાયા છે, તે આખા હેડીંગની નીચેની વાત તેની જ સમજવી. ને તે સિવાયના પ્રશ્નકર્તા : તરીકે પૂછનાર અક્રમમાર્ગના સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરેલા મહાત્માઓના છે તેમ સુજ્ઞ વાચકોએ સમજવું. (૨) જ્યાં જ્યાં ‘ચંદુભાઈ’ કે ‘ચંદુલાલ’ નામનો પ્રયોગ થયો છે તે સ્થાને સુજ્ઞ વાચકે પોતાને સમજાવાનો છે. સ મ ર્પ ણઅતિક્રમણોની વણથંભી વહી વણઝાર; વિષમકાળે પલ-પલ કષાયી વ્યવહાર. પતિ-પત્ની, માબાપ-છોકરામાં વાણીના ગોળીબાર; વર્તને કે મનથી સતત દુઃખોના ઉપહાર. છતાં દાદાએ દીધું ‘પ્રતિક્રમણ’નું હથિયાર; નર્કમાંથી સ્વર્ગ સ્થપાય, ઘરમાં ને બહાર. લાખો લોકોએ અજમાવ્યું, ફર્યા મૂળથી સંસ્કાર; મોક્ષને લાયક બનાવે અક્રમનો ‘આ’ ઉપહાર. વીતરાગોના પ્રતિક્રમણનો દાદા થકી ફરી પ્રસાર; જગને સમર્પણ, જે ઝીલશે, તે પામશે મુક્તિનો હાર. ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ છે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. ઉપોદ્ઘાત(પા.૧૦)(રાગ : વળતરની ઈચ્છા વિના, લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી) ખંડ-૧ : પ્રતિક્રમણજીવનમાં કરવા જોગ, ત્રિકરણનો એકાત્મયોગ; તે તૂટતાં તુર્તે પ્રતિક્રમણ, અક્રમ જ્ઞાનની શોધખોળ ! યથાર્થપણે પ્રતિક્રમણ, વિધિ ‘દાદા’ દેખાડે; ‘દાદા ભગવાન’ સાક્ષીએ, સામાના આત્મ કને ! દોષ જાહેર દિલમાં કરી, ક્ષમા પસ્તાવો ‘હાર્ટિલી’; ફરી નહીં કરું નિશ્ચય કરી, દોષ ધોવાય ‘સીમ્પલી’ ! સારાં કર્મો કરે તે ધર્મ, બૂરાં કરવાં તે અધર્મ; ધર્મ-અધર્મની પેલે પાર, ત્યાં રહ્યો છે આત્મધર્મ ! સારાં કર્મોથી ‘ક્રેડિટ’, તેથી સુખનો ભોગવટો; બૂરાં કર્મોથી ‘ડેબિટ, તેથી દુઃખનો ભોગવટો ! ‘ક્રેડિટ-ડેબિટ’ શૂન્ય થયે, આત્મસુખનો ભોગવટો; પહેલાં બે સંસાર વૃદ્ધિ, ત્રીજે માર્ગે મોક્ષ ખરો ! ઈષ્ટદેવ - દાદા સાક્ષીએ, ‘હાર્ટિલી’ પશ્ચાત્તાપે; આ વિજ્ઞાન ક્રિયાકારી, દર્દ થયું ત્યાં દવા પાકે ! ખાવું-પીવું, ઊઠવું-નહાવું, બોલવું કે કરવું જમણ; સામાને દુઃખ દે નહીં, સહજ વ્યવહાર એ ક્રમણ ! રાગ-દ્વેષ દુઃખ સામાને, તે સઘળું છે અતિક્રમણ; પાછા ફરવું અતિક્રમણથી, તે વિધિ છે પ્રતિક્રમણ ! ક્રોધ-માન-માયા-લોભ, એ બધા છે માત્ર અતિક્રમણ; એ જાય બધાં તુર્ત જ, કરતાં તેનાં પ્રતિક્રમણ ! અતિક્રમણથી રાગ-દ્વેષ, અસર પૂગે બન્નેને; પ્રતિક્રમણ તેનાં થતાં, શમે અસર તે બન્નેને ! ડાઘ પડ્યે કપડું ને ધોનાર, વેઠ થાય બન્નેને; ક્રમણની અસર ન કોઈને, સહજતા વર્તે સહુને ! (પા.૧૧)જીવ માત્ર ‘પ્રોજેક્ટ’ કરે, હાલતાં, ચાલતાં અનંતીવાર; કોમી હુલ્લડ સાંભળતાં, ચીતરી મારે થર્ડ વર્લ્ડ વોર ! એક સેકન્ડના સમય અસંખ્ય, અતિક્રમણ કરે અપાર; અતિક્રમણથી થયો ખડો, પ્રતિક્રમણે વિરમે સંસાર ! અપમાન કરનાર ખોટો લાગે, તેય છે અતિક્રમણ; કડક બોલાયું કે અવળું ચાલ્યા, તે પણ છે અતિક્રમણ ! છોકરાંને ધીબી નાખ્યાં, તેય છે અતિક્રમણ; ગાળ કેમ આપી મને ? એ થવું તે ય અતિક્રમણ ! કોઈને પણ આપણાથી, દુઃખ થયું તે અતિક્રમણ; ત્યાં દાદાને સંભારી, કરી લે તુર્ત જ પ્રતિક્રમણ ! આપણા દિલમાં તલભાર, દુઃખ દેવાના ભાવ નથી; છતાં દુઃખ દીધું નૈમિત્તિક, ત્યાં દાદે આ વાત કથી ! સામો દુભાવ્યો જાણ્યે અજાણ્યે, તોય તે છે અતિક્રમણ; મોઢે નહીં પણ મન બગડ્યું, તોય તે છે અતિક્રમણ ! મન-વચ-કાયાના યોગથી, જીવ માત્રને દુઃખ લાગણ; નિશ્ચે ઘટે તુર્ત જ તેનું, હાર્ટિલી પ્રતિક્રમણ ! કર્મ ઘટાડો કરે તે ધર્મ, કર્મ વધારે તે અધર્મ; પ્રતિક્રમણથી નવા ન કર્મ પડે, સાર એ સર્વોચ્ચ ધર્મ ! માંગવી શક્તિ ઊંચે ચઢવા, પ્રાર્થના કરી દિલથી; જ્ઞાની કે સ્વાતમ પાસે, ગુરુ-ઈષ્ટદેવ-મૂર્તિ! ક્ષમા માંગ પોકાર કરી, ભૂલોની શુદ્ધિ કાજ; તેથી ઊડી નાની ભૂલો, ને ઓગાળે સામાયિક ગાંઠ ! અનંત કાળના પાપકર્મથી નિવૃત્તિ શીદને પ્રવૃત્તે ? જ્ઞાનીઓનું નિશ્ચય જ્ઞાન, એ હૃદયાંકિત થયે ! એ ન મળે તો શ્રુતજ્ઞાન, સીધું ગ્રંથોમાંથી મળ્યે; શ્રુતમાંથી મતિ પરિણમ્યે, પાપકર્મ નિવર્તે ! (પા.૧૨)યા તો પાપથી નિવર્તવાની, દ્રઢભાવના ને પ્રતિક્રમણે; નિશ્ચે છોડાવે અનંત અવતારનાં, પાપકર્મના પોટલાને ! વ્યવહાર કે વ્યાપારે અન્યાય, તેનું શું છે પ્રાયશ્ચિત્ત ? પ્રભુ પાસે કરો નક્કી, ફરી કરવું નથી એવું કદિ ! પૂર્વ ભવના પ્રકૃતિ દોષે, આજે દેવાય છે દુઃખો; ભોગવી લેવા સમતાભાવે, મુક્તિ મળ્યાના આનંદો ! સહી લેવાં ઉપકારી ભાવે, આવે જેટલાં સામેથી દુઃખો; દાદે દીધેલાં પ્રતિક્રમણે, છોડી દો આ ભંગજાળો ! વૈજ્ઞાનિક તત્ત્વ જૈનોમાં, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન; અન્ય ધર્મોમાં પણ છે, પ્રાયશ્ચિત્તને મુખ્ય સ્થાન ! પૂર્ણતા ને ઝીણવટ, પમાડે વીતરાગી વિજ્ઞાન; વ્યવહાર ધર્મને ટૉપ પર લઈ, એ આપે છે ધર્મધ્યાન ! ક્ષપક શ્રેણીઓ ચઢાવી, પ્રતિક્રમણ પમાડે શુક્લધ્યાન; નિશ્ચય-વ્યવહાર સંપૂર્ણ ધર્મ, બોધે તીર્થંકર ભગવાન ! દાદાશ્રી સમજાવે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનનો સાર; નિજદોષનો જ્ઞાની કે, ગુરુ કને કરવો એકરાર ! નિર્ભýય થઈ નિશ્ચિત મને, સોંપી દે ગુરુને ભાર; ગુરુ કરાવે પ્રતિક્રમણ, સ્હેજે જાગૃત ફરીવાર ! પ્રતિક્રમણ છે કર્મ મુક્તિનું, સર્વશ્રેષ્ઠ આ હથિયાર; દાદે દીધું પ્રતિક્રમણ પકડ્યે, પ્રગતિ વિણ ગુરુ આધાર ! વિણ જપ-તપ-ઉપવાસ, ધ્યાન-યોગના કષ્ટો પારાવાર; પહોંચે નિશ્ચે મોક્ષે, પ્રતિક્રમણ એક માત્ર તારે સંસાર ! પસ્તાવાથી પાપોમાંથી, પુનિત થઈ મુક્ત બને; ફરી ફરી પસ્તાવો કરી, માફી માંગ પ્રભુ કને ! પસ્તાવો તો હંમેશા, હાર્ટિલી જ હોય સ્વયં; પ્રતિક્રમણથી છૂટે કર્મ, એ જ છે કર્મ નિયમ ! (પા.૧૩)ભૂલની માફી દિલથી માંગ, એ છે મુક્તિની રીત; ખોટા દિલથી માંગે, તો સચવાય છે આત્મ હિત ! પીવાય જો દારૂ તો, માંગતો જા માફી નક્કી કરી; એકદિ’ છૂટશે નિશ્ચે, છે વૈજ્ઞાનિક વાત ખરી ! આ છે ‘અક્રમ વિજ્ઞાન’, ન રહે પરિણમ્યા વિણ; બે કલાકમાં મોક્ષ મળે, માત્ર ‘જ્ઞાની’ જ્ઞાન-આજ્ઞા સૂણ ! કોઈને ગર્ભિત દુઃખ થયું, તેય ગણાય અતિક્રમણ; ખબર પડે કે ના પડે, પણ ખપે તુર્ત પ્રતિક્રમણ ! મરજીથી કરે તે મરજીયાત, પુરુષાર્થ થાય ત્યાં; દબાણથી કરે તે ફરજીયાત, પ્રારબ્ધ કહેવાય આ ! ક્રિયા છે ફરજીયાત ને ભાવ-કુભાવ છે મરજીયાત; અપમાન છે ફરજીયાત ને પ્રતિક્રમણ છે મરજીયાત ! અજ્ઞાન દશામાં છે ભાવસત્તા, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનની; ખૂન, ચોરી કરી થાય રાજી, તો પડે ઘોડા ગાંઠ ચીકણી ! વિષયી વિચારે કરે પ્રતિક્રમણ, તો ધરે રાહ હનુમાનની; દિલથી કરે પ્રતિક્રમણ તો, દોષ-શુદ્ધિ શિરે દાદા ભગવાનની ! કન્ફેશન કરે ક્રિશ્ચિયનો, પણ મોં સંતાડી અંધારે; અક્રમમાં જ્ઞાની કને, આલોચના કરે આંસુ ધારે ! પ્રતિક્રમણ ને ત્રિમંત્રો, સાથે કરવાં ચોક્કસ ફળે; મહા પુરુષોને ભજવાથી, પાપોથી મુક્તિ મળે ! અનંતીવાર કર્યા પ્રતિક્રમણ, કેમ ન ફળ્યાં કદિ; સમજીને, ‘શૂટ ઑન સાઈટ’ કર્યુ’તું એકુય કદિ ? સવાર-સાંજ પ્રતિક્રમણ, પણ એ ‘મિકેનિકલ’ થાય; પસ્તાવા વિનાનું પ્રતિક્રમણ, પ્રતિક્રમણ શેં કહેવાય ? ગોખીને બોલ્યા કરે રોજ, એવું તો રેકર્ડ બોલી જાય; મૂળ ગુનેગાર જડતો નથી, જે સામો તે માર્યો જાય ! (પા.૧૪)નથી ઘટ્યો એકુય દોષ, આખી જિંદગી કર્યા તોય; પોપટની પેઠે પ્રતિક્રમણ, આ માર્ગ મહાવીરનો ન હોય ! પ્રતિક્રમણની ભાષા માગધિ, કાળો અક્ષર ભેંસ બરાબર; ન સમજે સાધુ કે શ્રાવક, ‘મેં કર્યું’ કહી વધારે અહંકાર ! મહાવીરના શિષ્યો વાંકા-જડ, થશે વિના એક અપવાદ; ક્રિયાને માને છે આત્મા, કરું ક્યાં કને ફરિયાદ ? વચલાં બાવીસ તીર્થંકરોના, શિષ્યો કેવાં વિચક્ષણ; ક્ષણે ક્ષણે વર્તી જાગૃત, દોષ થતાં કરે પ્રતિક્રમણ ! કરે દરરોજ પડકમણું, અર્થ પૂછે તો જાણે નહીં; સંવત્સરી એક પ્રતિક્રમણે, વર્ષના પાપ ધોવાય નહીં ! વરસ આખાનાં પાપ પર્યુષણે, જોતાં દોષો હૃદય ભરાય; મરવા જેવું તે ’દિ લાગે, કેવાં દુભવ્યાં, લોકને હાય ! એવા ભાવો થયાં કદિ ? ઊલટાં, ફક્કડ કપડાં પહેરી; પરણવા નીકળ્યાં પર્યુષણે, દેહ દાગીનાથી શણગારી ! મિચ્છામિ દુક્કડ્મ કરે ગમતાને, ના ગમતા કને નહીં જાય; લીધી આબરુ વીતરાગની, મહાવીર ધર્મ આ ન હોય ! સાચા વીતરાગ ધર્મમાં, પાંચસો પ્રતિક્રમણ કરે; ‘દેખો ત્યાંથી ઠાર’ની રીતે, પસ્તાવો દિનરાત કરે ! શાસન તો છે મહાવીરનું, ‘જ્ઞાની’ તો શાસન શણગાર; ક્રમિક રૂંધાયો કળિકાળે, ‘અમ’ થકી ‘અક્રમ’ ખૂલ્યા મોક્ષદ્વાર ! રોકડું વણાયું પ્રતિક્રમણ જ્યાં, રૌદ્ર-આર્ત ધ્યાન મીટે ત્યાં; ‘ભગવત્ પદ’ પ્રાપ્ત સહજમાં, અક્રમજ્ઞાની પ્રગટે ત્યાં ! પ્રતિક્રમણ ફળે હેતુ મુજબ, પુણ્યૈ યા મુક્તિ સંસાર; છે અજ્ઞાન કે જ્ઞાન દશામાં, ફળનો એ તો મૂળ આધાર ! (પા.૧૫)આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે, નહીં કે માત્ર પ્રતિક્રમણ; સ્વભાન પછીનાં પ્રતિક્રમણ, મંડાવે મોક્ષે પગરણ ! દર્શનમોહ વ્યતિત થયે, અટકે કર્મનો બંધ; દર્શનમોહ છે ત્યાં લગી, પ્રતિક્રમણ તોય ગજ-સ્થાનવત્ ! પ્રતિક્રમણ કરવાનું કહ્યું, ‘શૂટ ઑન સાઈટ’ લગાવજે; તે ના થયું તો આવ્યું પછી, રાયશી-દેવશી ફટકારજે ! તે નહીં તો કર પાક્ષિક, પાક્ષિક નહીં તો ચારમાસી; કંઈ નહીં તો સંવત્સરી, અંતે મા નહીં તો માસી ! માસી પણ સગી ના મળી, ભાડુતી જ્યમ કળિકાળે; ક્યાંથી મોક્ષ ? ક્યાંથી ધર્મ ? વસ્યાં ખાલી ‘ઉપલે માળે’ ! કરનાર કે કરાવનાર, યથાર્થ ખપે પ્રતિક્રમણે; શબ્દોના શૃંગાર સજ્યા, ભાવ ભૂલ્યા અણસમજણે ! ડગલે પગલે અતિક્રમણ, છતાં ઉપાય છે પ્રતિક્રમણ; પણ ચોરી-લાંચ ના ચાલે, અહીં તો છે વીતરાગ ચલણ ! પ્રતિક્રમણો કરો છો મડદાંના, જીવતાંના કદિ નથી કર્યા; સાચાં તો છે ભાવ પ્રતિક્રમણ, ક્રિયાથી તો ખોટાં નર્યા ! એવાનું ફળ નહીં યથાર્થ, મિથ્યા કિંમત આંકી ફર્યા; માની કમાણી આત્માની, જીત્યા નહીં આ તો હાર્યા ! શબ્દે શબ્દે બોલી જવું, એ છે દ્રવ્ય પ્રતિક્રમણ; ભાવમાં ‘આ ન હોવું ઘટે,’ એ છે ભાવ પ્રતિક્રમણ ! ‘સંવત્સરી’ ન હોય મહાવીરનું, જો ન તોડી દોષ જંજીરને; વાંઝીયા પ્રતિક્રમણો કરી, વગોવ્યા વીર મહાવીરને ! માફ કરજો વાંચકો, હવે હૃદય જાય ભરાઈ; કરું એનું અહીં પ્રતિક્રમણ, કડક વાણી જે લખાઈ ! (પા.૧૬)ક્રિયા માત્ર આવરણ લાવે, મારગ મોક્ષનો મૂકાવે; રાયશી-દેવશી ગાયા કરે, દવા ચોપડવાની પીવે ! ક્રમિક માર્ગમાં પચ્ચખાણ લે, કંદમૂળ કે રાત્રિભોજન; સમજ્યા વિણના પચ્ચખાણ, મોક્ષ થવા નહીં લાગે કામ ! જે દોષનું પ્રતિક્રમણ, તેનું જ કરાય પ્રત્યાખ્યાન; અક્રમ વિજ્ઞાને ખુલ્લું કર્યું, યથાર્થતાએ પ્રતિક્રમણ ! ડાઘ ધોવાં બેઠા સાધુ, ટેબલ પર સાબુ ઘસે; ભક્તો ઘસે ભોંય પર, જગ આની પર જો હસે ! ત્યાગ કરવા પચ્ચખાણ લે, ધીમે ધીમે એ છૂટી જાય; ત્યાગ્યું તેના પચ્ચખાણ લે, ક્યાં આ સમજણને પુગાય ! ઈર્યાપથિકિનું પ્રતિક્રમણ, ક્રમિકમાં કરવું પડે; અક્રમમાં દેહથી જુદા, તેને ક્રિયા કો’ ના અડે ! પ્રતિક્રમણથી ચોખ્ખાં થાય, પુણ્ય ને પાપ કર્મ; મોક્ષ માટે બન્ને હેય છે, ઉપાદેય આત્મધર્મ ! દોષ થતાં તુર્તે પ્રતિક્રમણ, જાગૃતિ વિણ કદિ ન થાય; આત્મા ‘જ્ઞાની’ જાગૃત કરે, પતંગ દોર પછી ન જાય ! અજ્ઞાનદશામાં પ્રતિક્રમણે, પાપો ઓછા બંધાય; આત્મદ્રષ્ટિ થયા પછી, જાગૃતિ સહ સાચાં થાય ! કપડાં રોજ ધોઈ પહેરે, દરરોજ લખે ચોપડા; પ્રતિક્રમણ વરસે કરે, કેમ ન ધુવે વરસે કપડાં ? જ્ઞાની પણ ઠપકારતાં, તુર્ત જ કરે પ્રતિક્રમણ; આ છે કુદરતી રચના, દોષિત આમાં છે જ કોણ ? છતાં ‘છે’ ને ‘છે’ કહે, ‘નથી’ એને તો ‘નથી’ કહે; ‘છે’ તેને ‘નથી’ કહે, એવું સાચા જ્ઞાની કેમ કહે ? (પા.૧૭)દ્રષ્ટિમાં છે જગ નિર્દોષ, છતાં ભૂલો કાઢે વાણી; સત્ય વદતાં દુઃખ થાય તેના, પ્રતિક્રમણ કરે સ્વયં જ્ઞાની ! આપણા દોષે દોષિત દેખાય, દ્રષ્ટિને ત્યાં ધોવી પડે; નહીંતર કષાય ખડાં થશે, સાપેક્ષ સત્ય કાજે લઢે ! વાદી-પ્રતિવાદી કબૂલે, તે વાણી વીતરાગ; પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય, દેશના ને સ્યાદ્વાદ ! શુદ્ધાત્મા સિવાયની વાત, જૂઠી છે નિશ્ચે તું જાણ; ‘હું ચંદુ’નું પણ પ્રતિક્રમણ, ત્યાંથી સાચી સમજ પ્રમાણ ! દર્દીને પાવા દવા, ડૉક્ટર કડક દેખાય; દર્દ મટે કે નાયે મટે, પણ પ્રતિક્રમણો તેના ઉપાય ! ‘દાદા’ ડૉક્ટર ધર્મના, વીંઝે સાધુને સોટા; ‘જ્ઞાની’ સોહે મૌન પણ, કરુણા વહે જોઈ ખોટા ! સ્યાદ્વાદ વાણી ચૂક્યા, જ્ઞાની કરે પ્રતિક્રમણ; વાણીમાં દોષિત કહે, નિર્દોષ પ્રતીતિમાં પણ ! તીર્થંકરી વાણી સદા, સ્યાદ્વાદ સંપૂર્ણ; અક્રમ જ્ઞાની ચૌદસ તેથી, વાણી ને અભિપ્રાય ભિન્ન ! દોષિત દ્રષ્ટિ હતી ત્યારે, વાણી દાદે આવી ભરી; દ્રષ્ટિ નિર્દોષ આજ થઈ, છતાં વાણી આવી સરી ! ગુરુ કહે, ‘હું જળકમળવત્’ ‘મૂરખ’ કહેતાં થાય ઉઘાડા; ઉડે જળ ને કમળ બેઉ, આ ધર્મ કે છે અખાડા ?! વ્રત-જપ-તપ ને નિયમ, આપે છે સાંસારિક ફળ; નથી જરૂર મોક્ષે જતાં, માત્ર જરૂર તે પ્રતિક્રમણ ! સાધુ-સાધ્વી ખમાવવા, કરો કલાકનો નિત્યક્રમ; પ્રત્યક્ષ નહીં પણ મનમાં કરે, તોય થાય સાચો ધર્મ ! (પા.૧૮)પ્રતિક્રમણ ને અકષાય, બે જ છે મૂળ ધર્મ; બીજું ધર્મમાં નથી જરૂર, છોડ્યો જગે ‘આ’ મૂળ ધર્મ ! જ્ઞાનીનું તું વચન પાળ, ઠેઠ પુગીશ મોક્ષ દ્વાર; જા, દાદા લે માથે તુજને, છે તારી વારે વાર ! મતાગ્રહ મોટું અતિક્રમણ, બન્યો દેશ પાયમાલ; વિષ ઘોળ્યું માંહ્યોમાંહીં, દ્રોહનો કરો નિકાલ ! ક્રમ માર્ગમાં આદેશ કરે, ના કર ચોરી-જૂઠ-લબાડી; પાળ અહિંસા-સત્ય-અચૌર્ય, શાસ્ત્રો તો કહે છે બરાડી ! લોકોએ નેવે મૂક્યાં, સર્વ શાસ્ત્રોને મોં બગાડી; નથી થતો જીવન ફેરફાર, ક્યાંથી લપ ‘આ’ વળગાડી ? ‘કરવું છે, પણ થતું નથી’, એમ ગાણું ન કદિ ગવાય; ‘કેમ નથી થતું’ દ્રઢતાથી કહી, નિશ્ચય વારંવાર કરાય ! ચોરી-જૂઠનો દોષ થયો, પણ તેનું કર પ્રતિક્રમણ; બદલાય ન આચાર કદિ, ફેરવી લે તેથી સમજણ ! વિશ્વના ધર્મો તમામ, દેહાધ્યાસનાં મારગ છે; અક્રમ વિજ્ઞાન એકલું, દેહાધ્યાસથી રહિત છે ! ત્યાગ કરવો છે કે થતો નથી, એ બન્ને છે કર્તાપદ; સંડાસ જવાની શક્તિ છે ? તો કઈ શક્તિ કહે હદ ? કર્તાભાવે કરવું હોય તો, માંગવી શક્તિઓને જરૂર દાદે ‘નવ કલમો’ દીધી, કારણ ફરે, કાર્ય અફર ! અનંતશક્તિનો ધણી પોતે, ‘શક્તિ નથી’ કેમ બોલાય ? પ્રતિક્રમણ પણ છે પુરુષાર્થ, ભ્રાંતદશામાં તેહ થાય ! અધ્યાત્મવાણી ગવાય દેશમાં, સંતો-ભક્તોય એમાં બેભાન; ‘ઈટ હેપન્સ’ને ‘મેં કર્યું’ કહે, ભમરડાને કહે, ‘મારું માન !’ (પા.૧૯)ખોટું થઈ જાય તારાથી, તેને પ્રતિક્રમણથી સુધાર; ‘ભ્રાંત’ પુરુષાર્થ એને કહ્યો, સત્ થવા બન અકિરતાર ! કશાનો કરનાર નથી, તું કેવળ છે જાણનાર; કરનાર-જાણનાર બેઉ ભિન્ન, માટે ક્રિયા ન ફરનાર ! ખોટાને ખોટું તું જાણ, ફેરવ એનો અભિપ્રાય; એ જ પુરુષાર્થ ધર્મ, ‘જો’, ‘જાણ’ને નિશ્ચય કરાય ! ‘નથી થતું, ભઈ નથી થતું’, એવું ક્યારે ના બોલાય; આત્માનો સ્વભાવ છે, ચિંતવે તેવો તુર્ત થઈ જાય ! વાત છે આ ઝીણી પણ, સમજ્યા વિણ ના આવે ઉકેલ; સ્વસત્તા-પરસત્તાના ભેદ, જ્ઞાની માત્ર પાડી શકેલ ! ચોર છોરાને સુધારવા, માર ઠોક ના એને કરાય; તેથી અવળી ગાંઠ વાળે, થાય ચોરીનો દ્રઢ અભિપ્રાય ! માંગ શક્તિ દાદા કને, ‘આ ભવે હવે ચોરી ન થાય’; દાદા ખોળે બેસાડે, શુદ્ધ પ્રેમે હૃદય પલટાય ! માંગ શક્તિ, કરી ચોરી, તોય માંગ શક્તિઓ ખાસ; દવા છે ફેરવો અભિપ્રાય, પરમ વિનય પ્રભુ પાસ ! ‘જ્ઞાની’ પાસે દવા બધી, વળી ચોક્કસ છે નિદાન; દર્દ ખુલ્લું કરી જા, વૈજ્ઞાનિક દાદા ભગવાન ! માંગ શક્તિ મળે અવશ્ય એક ‘દિ’, શંકા ના કર; તેથી ‘નવ કલમો’ દીધી, વૈજ્ઞાનિક રહસ્ય સભર ! અક્રમમાં આચાર ન જોવાય, કર્યા એને જ્ઞાને નિકાલી; આર્ત-રૌદ્ર નવા ન થાય, જૂના કરો ‘જોઈ’ ખાલી ! અધ્યાત્મ એટલે ચિત્ત શુદ્ધિ, ચિત્ત અશુદ્ધિ બાંધે કર્મ; કોઈ જીવને દુઃખ ન થાય, એ વ્યવહાર શુદ્ધિ ધર્મ ! (પા.૨૦)અક્રમના મહાત્માઓને, નવાં કર્મ ના બંધાય; જૂનાં કર્મો ખાલી કરે, રહે નિત્ય પાંચ આજ્ઞા માંહ્ય ! ચીકણાં કર્મો આવે ત્યારે, પ્રતિક્રમણથી ઉખડે; એકાવતારી જ્ઞાન આ, ગેરન્ટી નવું કર્મ ન પડે ! અતિક્રમણ ને આક્રમણ, થતાં જ કર તું પ્રતિક્રમણ; પરાક્રમની તો વાત જ શું ત્યાં કેવળ આત્મ-રમણ ! ક્રમણથી થઈ પ્રકૃતિ, અતિક્રમણથી ફેલાણી; પ્રતિક્રમણથી જાય ઘટતી, અક્રમ જ્ઞાને સમજાણી ! ચોર કે વેશ્યા હોય તોય, ભાવ એક ના બગાડાય; ઈચ્છા નથી હોતી ખરાબીની, પણ સંજોગોમાં સપડાય ! મૂઢાત્મા દેખે દોષો પરના, દોષ કદિ ન દેખાય નીજ ; ક્યાંથી તોળે ન્યાય જ્યાં, પોતે વકીલ-આરોપી-જજ ! અજ્ઞાની પણ પ્રતિક્રમણ, કરે અમુક અંશો; થોડા જાગૃત વિચક્ષણો, છોડે પસ્તાવે દોષો ! શુદ્ધાત્મા થયા પછી, પ્રતિક્રમણ શું એને ઘટે ? સામાને દુઃખ થાય તેથી, અક્રમમાં આ કરવું પડે ! પ્રતિક્રમણ કરવા છતાં, માફી જો ન દે સામો; તે આપણે જોવું નહીં, દોષ-મુક્તિ નિશ્ચે પામો ! અતિક્રમણના વિરોધી, પ્રતિક્રમણથી જાહેર થાય; અસહમતતા દોષો સંગે, દોષી સ્વભાવથી મુક્ત થવાય ! દોષો બધાં છે નિકાલી, ‘મારા’ એ ભાવ નથી; એમ જાગૃતિ રહે ત્યાં, પ્રતિક્રમણ પછી જરૂરી નથી ! અતિક્રમણ વિનાનો સહુ, નિકાલી છે વ્યવહાર; અતિક્રમણનું પ્રતિક્રમણ, નિકાલ થાય અંદર ને બહાર ! (પા.૨૧)સાચું પ્રતિક્રમણ તો તે કરતાં દોષો ઘટે; દોષ ના ઘટે તો, રે ! દળદળ કેમ ફીટે ?! પ્રતિક્રમણથી ધોવાઈ ગયું, પછી ન સામાને ડંખ; ના પડે મતભેદ કદિ, સામો મળે સંબંધ અકબંધ ! પાપ ધોયાની પ્રતીતિ, મન થાય ચોખ્ખું ને ચટ; મુખ પર મસ્તી મલકે, હળવાં ફૂલ થાય ઝટ ! ‘ચંદુ તારી છે ભૂલ’, કહે તને કોઈ ત્યારે; કહીએ, ‘ચંદુ તારી ભૂલ હશે’, માટે તને ઠપકારે ! અંડરહેન્ડના દોષો, ના જોવા કદિ શેઠે; પોલીસ, જજ કે બીબી પાસ, કેમ રહે મીંદડી પેઠે ? પ્રતિક્રમણ જો મોડે થાય, તેનુંય કર પ્રતિક્રમણ ; આરતી કે વિધિમાં ભટકે, કર અજાગૃતિનું પણ ! દોષ થવો છે સ્વાભાવિક, તેથી વિમુક્તિનો માર્ગ; જ્ઞાની જ એકલા દેખાડે, પ્રતિક્રમણ કર હે સુભાગ્ય ! દોષ છે પોતાની ડખલે, સામાને કંઈ ન લાગે; ચેતો એની પોસ્ટ બંધ, આપણી તો જાગે ! અક્રમજ્ઞાને પ્રજ્ઞા પ્રગટ, પ્રતિક્રમણ થાય સ્વયં; વીતદ્વેષ મેળે થયો, એ જ ખુદા, જેનો ગયો અહં ! ‘અ-મારી’ શબ્દ મહાવીરનો, ‘માર’નું કર પ્રતિક્રમણ; નિવેડો કે નિકાલ કરો, લઢવા માટે નથી આ જનમ ! ક્રમિકના જ્ઞાનીને નહીં, દોષનું આવું સુદર્શન; અક્રમની જાગૃતિ જુઓ, પળે પળે છે પ્રતિક્રમણ ! સદ્ગુણ જેનાં દેખાય તેનાં, ન હોય એનાં પ્રતિક્રમણ; ભાવથી જ આપણું હોય, એની સાથે સુવર્તન ! (પા.૨૨)સ્વદોષને છાવરે અહં, જાત માટે રહે પક્ષ; મોટા મોટા સાધુ પણ, પૈણે અહંકાર સંગ ! ધંધામાં વધે જો ભાવ ને, ઘરાકને પણ દુઃખ થાય; ત્યાં કર્તા ‘વ્યવસ્થિત’, સમકિત ન જોખમાય ! દાદાએ કેવાં કર્યા, કર્મમાં અકર્મ સ્થિતિ; આ ભવ ‘વ્યવસ્થિત’ તાબે, છતાં પ્રતિક્રમણે મુક્તિ ! અક્રમ સિદ્ધાંત જુઓ, બુદ્ધિને પણ ન ગાંઠે; ચોગરદમથી મળે તાળો, બુદ્ધુ કરી એને લાવે વાટે ! કાળા બજારનો આ કાળ, ‘વ્યવસ્થિત’ જો સમજે; પ્રતિક્રમણ છે ત્યાં ઉપાય, પ્રકૃતિ પછી પીગળે ! અજ્ઞાની ખાય વ્યાજ તો, થાય જેવો કસાઈ; સમકિતી પ્રતિક્રમણ કરી, ડાઘની કરે ધુલાઈ ! લેણદારના પ્રતિક્રમણે, સવળી પહોંચે અસર; રાગ-દ્વેષ કે ગાળાગાળી, ‘એકસ્ટ્રા આઈટમો’ કરાર ! ચીઢ ચઢે, ચોરી કરે, અપ્રમાણિક, અનીતિ; ટૈડકાવ્યાં ને આંતર્યા, પ્રતિક્રમે ચોખ્ખી પાટી ! સાહેબે ડિસમિસ કર્યા, શુદ્ધાત્મામાં જો રહ્યો; નથી બંધન ફાંસીનું ય, જજ તો બજાવે ફરજો ! વીંછીને કૈડવા દે એ, મૂઢ અહંકારે કરીને; ‘જ્ઞાની’ તો કરી લે એનું, પ્રતિક્રમણ બાજુ મૂકીને ! દેખતાં જ ના ગમે કોઈ, પૂર્વેનું વેર સમજાય; તિરસ્કાર કે અભાવના, પ્રતિક્રમણે તે છૂટાય ! પતિ-પત્ની, સાસુ-વહુ, હિસાબી છે અથડામણ; રિલેટિવ સંબંધો છે, કર તેનું ય પ્રતિક્રમણ ! (પા.૨૩)સંસાર એટલે હિસાબો ચૂકવવાનું છે આ સ્થાન; પ્રતિક્રમણ કરીને છૂટો, કહે છે અક્રમ વિજ્ઞાન ! પ્રતિક્રમણે સુધરે સંબંધ, બીજી ખોટ ન ખવાય ; સામેથી પડઘો પડે, નહીં તો હિન્દુ-પાક લઢાઈ ! અપમાન થાય, વિશ્વાસ ઊડે, દોષો ને ધોવાથી જાય; વારંવાર ધોવું પડે, જો દૂધમાંથી મીઠું કઢાય ! સામાને દુઃખ થાય તેથી, તુર્ત જ પોતાને ખબર પડે; શબ્દો નીકળ્યા વાગે તેવા, મોઢું બગડે હાસ્ય ઊડે !! દુઃખ દેવાથી થાય નાદારી, કોઈને ડરાવી માર્યા રોફ; ભાંગ્યા મન, તરછોડ્યા બહુ, તે સાપ થઈને વાળે કોપ ! વહુ-સાસુના ઝઘડામાં, ઠેસ, આઘાત કે આત્મઘાત; ઊંડા પ્રતિક્રમણ, નીંદી જાત, પસ્તાવો કર પારાવાર ! જ્ઞાની કહે અમ થકી કદિ, ઇચ્છા વિના દુઃખ દેવાય; અપવાદ રૂપ બને છતાં, પ્રતિક્રમણો ત્યાં વિશેષ કરાય ! ‘પડી જાય ના’ તેની વાડ, તેના વિચારો પકડી લઈ; ‘વ્યવસ્થિત’ તેનું હાથ ધરી, ઘેર બેઠાં અટકાવી દઈ ! ભૂલ કરે, માફી માંગે, એ ભૂલ કરે વારંવાર; ત્યાં સમજાવી પ્રેમથી, માફ કર સારા વિચાર ! સામો ભૂલ કર્યા કરે, ન તેને થાય કદિ ભાન; ન પસ્તાવો કે માફી, તેથી ઊડે પ્રેમ ને માન ! આવાનો કરવો વિરોધ, અર્થ નથી એને નભાવવાનો; કરાવો એનું ભાન તેને, અંતરથી માફ કરવાનો ! તેમ છતાં ના કશું વળે, તો અંતે એને નભાવવો; નહીં તો મન બગડી જશે, ‘આવું જ હોય’ કરી ચલાવો ! (પા.૨૪)કોઈ દુભાયો છંછેડાયો, ફરી ન આવે આપણી પાસ; પ્રતિક્રમણે ઊડાડ્યું, પૂરો કર્યો મેં હિસાબ ! અહંકાર કરી છોડી દીધું, એમાં ક્યાં છે કંઈ ખરાબ ? જ્ઞાની કહે આ છે ખોટું, નિમિત્ત બન્યાનો હિસાબ ! તેમ છતાં સામો અકડે ‘રહ્યું’ કહી, પછી ના મરાય; પ્રતિક્રમણ કર્યા કરો, ક્યારેક બૂઝશે અંતર લ્હાય ! લાંબી બોલાચાલીનું, જાથું પ્રતિક્રમણ અંતે; ‘દાદા ભગવાન’ હું તો આનું, ભેગું કરી લઉં છું ખંતે ! ટકરામણ સંસારમાં, એ છે હિસાબી વ્યવહાર; પ્રતિક્રમણે સાંધવું મન, તૂટે નહીં એ જ્ઞાન સાર ! અથડામણ પુદ્ગલ તણી, પ્રતિક્રમણથી મૂળથી જાય; અથડામણ અટકે તેનો, ત્રણ ભવે જ મોક્ષ થાય ! સામો કરે ગુણાકાર, એટલી રકમે તું ભાગ; ઘર્ષણ કે અથડામણ ટળે, અક્રમનો લે તું આ લાભ ! વાણી-કાયાની અથડામણ, એ ‘સ્થૂળ’ સ્વરૂપ કહેવાય; ના પડે સામાને ખબર, આને મનનું ‘સૂક્ષ્મ’ કહેવાય ! કો’કને મારતો જુએ ત્યાં, હાજર જ્ઞાન ‘વ્યવસ્થિત’; છતાં દોષ તેનો દેખાય, ત્યાં ‘સૂક્ષ્મતર’માં સ્લીપ ! પોતે દ્રઢ નિશ્ચય કરે, નથી આમાં દોષ કોઈનો; છતાં દોષ દેખાય આમાં, ‘સૂક્ષ્મતર’ એ અથડામણો ! ફાઈલ નંબર ‘એક’ સંગે, તન્મયતા એ ‘સૂક્ષ્મતમ’; જાગૃત થઈ કર પ્રતિક્રમણ, છૂટવાનું એ ઊંચું સાધન ! પ્રતિક્રમણનાં સ્પંદનો, પહોંચે સામાને તુર્ત; અહંકાર ને બુદ્ધિ મળી, અતિક્રમણે બાંધે કર્મ ! (પા.૨૫)રાગ કે દ્વેષ બીજથી, ગમતા-ના ગમતા એ ફળ; પ્રતિક્રમણ એકમેવ ઉપાય, તોડે રાગ-દ્વેષનું જડ ! માન ઈર્ષા કે શંકાના, અવળા-સવળા આવે વિચાર; પ્રતિક્રમણ તુર્તે કરવાં, સામાને પુગતા ના વાર ! ‘લૂંટારો લૂંટશે’ની શંકા, સુખીયાને કરે દુઃખી દુઃખી; બ્રહ્માંડનો માલિક તું, ઝાકળ બૂઝવે જ્વાળામુખી ! ભય લાગે શા કારણે ? ટેમ્પરરી જાતને સમજે; નિત્ય છે મારું સ્વરૂપ, સમજ્યે ભય ન ઉપજે ! પસ્તાવાથી દોષ બને, જ્યમ બળેલી સીંદરી; આવતે ભવ અડતા સાથે, મૂળથી દોષ પડે ખરી ! જ્ઞાન પછી પ્રતિક્રમણ પણ, ઈફેક્ટ રૂપ થઈ જાય; ઈફેક્ટને ઈફ્ક્ટથી છેદી, ‘પોતે’ શુદ્ધ રહી ચોખ્ખા થવાય ! ખાવાપીવામાં અતિક્રમણ, લાવે છે દેહનાં દર્દ; અતિક્રમણ છે સ્વાભાવિક, પ્રતિક્રમણ બને પુરુષાર્થ ! ખાવાના નિયમ ભંગે, જ્ઞાની પાસે માફી માંગ; વ્યસનોનું ઉપરાણું નહીં, છૂટે એક’દિ નિશ્ચે જાણ ! પ્રતિક્રમણ ના થાય તો, ફરી વળગે પરમાણુ; બીજે ભવ વ્યસન પાછું, અભિપ્રાય રહ્યે વળગ્યું ! જુએ-જાણે ના ડિસ્ચાર્જ, વળી પ્રતિક્રમણ ના થાય; મન બંધાતું ચાલુ જો, અભિપ્રાય રહી જાય ! પુરુષ બન્યા પુરુષાર્થ કર્યે, અવશ્ય મોક્ષ એનો થાય; પણ કચાશ પોતાની રહે, આજ્ઞા પ્રતિક્રમણ માંહ્ય ! દાદા ચા ક્યારેક પીવે, પ્રત્યાખ્યાન કરે પ્રથમ; નહીં તો તે ચોંટી પડે, જ્ઞાની જાગૃત કાયમ ! (પા.૨૬)શારીરિક થાય વેદનાને, માત્ર જુદું ‘જો’ ને ‘જાણ’; અહિંસક ભાવ, જુદાપણું, નહીં આર્તý ને રૌદ્રધ્યાન ! કર્મ બંધાય અતિક્રમણે, નહીં કે બંધ અતિચારે; નથી અડ્યું ‘અંબાલાલ’ને, વેદનીય ક્ષણ, ‘વિજ્ઞાને’ ! આર્ત ને રૌદ્રધ્યાન, ક્ષણે ક્ષણે પજવે; આર્તધ્યાનનું ફળ તિર્યંચ, રૌદ્રથી જાય નરકે ! પોતે પોતાને જ પીડે, અગ્રશોચ એ આર્તધ્યાન; ગોળી અન્યને વાગે નહીં, પત્નીને ન જાણ ! ગોળી લગાવે અન્યને, પરને દુઃખ વિચારેય; રૌદ્રધ્યાન તેને કહીએ, અસર પહોંચી કોઈનેય ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન, વિચાર થતાં ફેરવે; મારા કર્મનો ઉદય છે, સામાને નિમિત્ત દેખે ! એને કહ્યું છે ધર્મધ્યાન, જગ નિર્દોષ દેખે; પ્રતિક્રમણ કરી ધોઈ લે, ધર્મધ્યાન જ્ઞાની લેખે ! એક ફેર પસ્તાવો કરે તો, રૌદ્રનું થાય આર્ત; ફરી એનાં જ પ્રતિક્રમણે, આર્તનું થાય ધર્મ ! તમે થયા શુદ્ધાત્મા, પુદ્ગલ કરે આર્ત-રૌદ્ર; પુદ્ગલ કરે પ્રતિક્રમણ, રહે ત્યાં ધ્યાન-ધર્મ ! શુદ્ધાત્માનું શુક્લધ્યાન, ધર્મધ્યાન છે પુદ્ગલનું; એમ થાય ત્યારે અંતે, શુદ્ધ વિશ્રસા પરમાણુ ! અક્રમ જ્ઞાનમાં કદિ, થાય ન આર્ત-રૌદ્ર ધ્યાન; અંદર ‘શુક્લ’ બહાર ‘ધર્મ’, કારણ છે મડદાલ અહં ! અપ્રતિક્રમણ દોષોથી, દોષો હાલમાં જે થાય; યથાર્થ પ્રતિક્રમણ કર્યે, તે દોષોથી છૂટી જવાય ! (પા.૨૭)દોષને જાણ્યો એ ધર્મધ્યાન, આત્મધ્યાન તે શુક્લધ્યાન; અંદર ‘શુક્લ’ બહાર ‘ધર્મ’, એકાવતારી પદ તું જાણ ! અક્રમ માર્ગે જઈ શકાય, આ કાળે એકાવતાર; અંદર બહાર ‘શુકલ’ તો, તે જ ભવે મોક્ષ થનાર ! ‘મોડી રાતે મહેમાન આવે’, જોતાં મન બગડી જાય; ‘અત્યારે કંઈથી મૂઆ,’ સહેજે શબ્દ સરે મન માંહ્ય ! મોઢે કહે, ‘પધારો આવો, ચા લેશો કે જરી જરી?’; મહેમાન માંગે ખીચડી-શાક, નહીં તો કહેશે, ‘કઢી જરી’ ! તેલ રેડાય બૈરીમાં, ‘ક્યારે જશે’ પૂછે પતિદેવ; બૈરી કહે, ‘હું શું જાણું’, મિત્રો તમારા, પાડી તમે ટેવ ! અતિથિ દેવો ભવ, છતાં આર્ત-રૌદ્ર ધ્યાન; તેનું ખપે પ્રતિક્રમણ, નહીંતર ખોટની ખોદી ખાણ ! ભાવ ન ફરે સમકિતીને, પ્રતિક્રમણ કરવાથી; દોષ છૂટે કાયમનો, પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી ! પ્રતિક્રમણ જો ના થયું, તો રહે દોષ પેંડીંગ; એક-બે ભવ જાય વધી, કેશ કર્યે મોક્ષે લેંડીંગ ! ઝઘડો મોંઢે કરી દે, તે તો છૂટે છે આજ; મનથી કરે તે તો, બાંધે આવતા ભવ કાજ ! કર દ્વેષનું પ્રતિક્રમણ, કારણ કે થતો એટેક; રાગ તો ડિસ્ચાર્જ છે, જ્ઞાનીનાં હોય ફોડ છેક ! જો જાગૃતિ ના રહી, ન રહ્યો આજ્ઞામાંય; તો રાગનુંય કરવું પડે, નહીંતર પછી લપસી જાય ! તાંતો ને હિંસકભાવ બે, હોય તો કષાય કહેવાય; એ નહીં તો કષાય નહીં, એ ડિસ્ચાર્જ માત્ર થાય ! (પા.૨૮)પણ ડિસ્ચાર્જ કષાયથી, સામાને દુઃખ થઈ જાય; તેનું ઘટે પ્રતિક્રમણ, વાત તીર્થંકરોની કહેવાય ! ગમ્મે તેવાં ભારી કષાય, અંતે પ્રાકૃતિક માલ; ‘જોનાર’ દાઝે નહીં, જ્ઞાન ત્યાં બને છે ઢાલ ! ડિસ્ચાર્જ ગુના મડદાલ ગણ, જ્ઞાન પછીની દશાએ; તેનું કર્મ નહીં ભારે, જ્ઞાની ગુનામાંય હસાવે !!! દિલથી પ્રતિક્રમણ કરે, તો ટુકામાં દોષ પતે; પ્રતિક્રમણ કરતાં કરતાં, જંજાળો નિયમે છૂટે ! જાથું પ્રતિક્રમણ ચાલે, જ્યાં દોષોની વણઝાર; ‘દાદા! ભેગું કરું છું, કરો આનો પૂરો સ્વીકાર!’ રૂબરૂમાં હિંમત ના ચાલે, તો મનમાં માફી માંગ; નોબલ હોય તો ત્યાં રૂબરૂ, નહીં તો કરે દુરુપયોગ ! મોક્ષે જતાં પહેલાં, સૂક્ષ્મ કાયને ખમાય; કર ભેગું પ્રતિક્રમણ, અંતે સહુથી છૂટાય ! પુરુષાર્થ તેને કહે, દોષનું કરે પ્રતિક્રમણ; જાણનારનો જાણકાર, રહે દશા એ પરાક્રમ ! ‘અનંતાનુબંધી’ ક્રોધ, જેમ ભેખડમાં પડી ફાડ; પ્રતિક્રમણ ના કરે તો, ભવોભવ માડે હાટ ! ‘અપ્રત્યાખ્યા’ની ક્રોધ, એ તો ફાટ ખેતરે જેમ; પ્રત્યાખ્યાન કે પ્રતિક્રમણ, ન થયાં માટે છે તેમ ! પાંચમું ગુણસ્થાનક ત્યાં જાથું પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન; છઠ્ઠામાં તેથી આવે, ‘પ્રત્યાખ્યાની’ ગુણસ્થાન ! દોષનાં આવરણો લાખો, પ્રતિક્રમણ લાખો વાર; જાથું થયાં પૂર્વે તેથી, રહ્યાં પડ આવરનાર ! (પા.૨૯)‘પ્રત્યાખ્યા’ની આવરણ જેમ રેતીમાં દોરે લકીર; ‘સંજ્વલન’ કષાયમાં, પાણીમાં જેમ દોરે લકીર ! ઉદયમાં કષાય હોય, કાર્યકારી મહીં થાય; હોય દુઃખ ભોગવટો, ‘પ્રત્યાખ્યાની’ તેને કહેવાય ! ઉદયમાં કષાય હોય, કાર્યકારી નવ થાય; મહીં વર્તે સમાધિસુખ, ‘સંજ્વલન’ તેને કહેવાય ! સમકિત થતાં ચોથે, પાંચમું ‘અપ્રત્યાખ્યાની’; છઠ્ઠે ‘પ્રત્યાખ્યાની’માં, વ્યવહારમાં ફાઈલ જાડી ! છઠ્ઠા ગુણસ્થાનકમાં, બાહ્ય ચારિત્ર ના ગણે; સાતમે ઉદય ‘અપ્રમત’નો, ‘અપૂર્વ’ આઠમે ગુંઠાણે ! વિષયે નિર્ગ્રંથ થતાં, સ્ત્રી પરિગ્રહ પણ ઊડે; ત્યારે નવમું ઓળંગે, એમ પછી દસમે ચઢે ! ક્રોધ-માન-માયા-લોભનું, પરમાણુ રહે ન માત્ર; કષાયની શૂન્યતા થયે, ભગવાન પદને માત્ર ! ડિસ્ચાર્જમાં ના દિસે, પરમાણુ માત્ર કષાયનું; દાદે દીઠો કેવળ આતમા, અનુભવ પદ ત્યાં પમાય ! કષાય સહિતની પ્રરૂપણા, પામે અવશ્ય નર્ક રે; વકીલ થઈને ગુનો કરે, સજામાં મોટો ફર્ક રે ! મિથ્યાત્વીથી ઉપદેશ, પાટ પરથી નવ દેવાય; ‘સ્વાધ્યાય કરું છું,’ સાંભળીને લાભ સૌએ લેવાય ! પોતે શુદ્ધાત્મા થયો, ‘વ્યવસ્થિત’ને સમજે કર્તા; પ્રતિક્રમણ તુર્ત જ કરે, વીતદ્વેષ થયો માત્ર જ્ઞાતા ! કોઈના નવ દેખાય દોષ, વર્તે દશા સર્વ વિરતિ; સંસારમાં સર્વ કંઈ કરતાં, એવી અક્રમની રીતિ ! (પા.૩૦)ક્રોધનો અભાવ જ્યાં, એ ક્ષમા મહાવીરની; આપવાની ચીજ ન્હોય, સહજ ક્ષમા શૂરવીરની ! જ્ઞાતા-દ્રષ્ટા રહે ત્યાં, કષાય છે સંપૂર્ણ બંધ; જ્ઞાતા-દ્રષ્ટાપણું ચૂકે, કષાયનું વર્તે ચલણ ! પ્રતિક્રમણ કર્યા કરે, બને ચીકણું કર્મ હળવું; સીસુ કાનમાં રેડ્યું તેથી, મહાવીરને પડ્યું ભોગવવું ! જ્યાં જ્યાં હિંસાઓ કરી, મચ્છર, માંકડને માર્યા; જીવોને સામા મૂકી, પસ્તાવાથી થાય છૂટકારો ! ભાવમાં સદા રાખો, સર્વ જીવોને બચાવાય; પછી બચે કે ના બચે, પણ જોખમથી તો છૂટાય ! ખેતીમાં દવા છાંટે, ઘાસ ને કૂંપણ તોડે; તેનો પસ્તાવો કરો, ભલે પછી તે કરવું પડે ! દરરોજ દસ મિનિટ, પ્રભુને દિલથી પોકારે; ક્યાંથી કરવાનો આવ્યો, હિંસક ધંધો ભાગ મારે ! ભાવમાં સંપૂર્ણ અહિંસક, તેથી હિસાબ ના બંધાય; વેર-હિંસા-રાગ-દ્વેષનાં, પ્રતિક્રમણથી છૂટાય ! ગમ્મે તેવાં વેર પણ, પ્રતિક્રમણે છૂટી જાય; સામો છોડે કે ના છોડે, હવે જોખમ તો ‘એનું’ ગણાય ! પાછલા દોષોનું પ્રતિક્રમણ, દોષનો થાય પછી નિકાલ; નવું નથી ચીતરામણ તો, બંધનો રહ્યો ક્યાં સવાલ ! ભૂતકાળ ગયો કાયમ, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ હાથ; વર્તમાનમાં વર્તે સદા, પકડ જ્ઞાનીની વાત ! લૂમ સળગી ત્યાં કરે શું ? ટેટાઓ ફૂટતા જાય; પ્રતિક્રમણ કરે બોંબનું, તેનું સૂરસૂરીયું થાય ! (પા.૩૧)પ્રતિક્રમણ કરતાં કરતાં, અતિક્રમણ થાય ચાલુ; ધોયા કરો ધીરજથી, ના ખૂટે કદિ આ ‘સાબુ’ ! વેરવી પ્રત્યે પણ ન ઘટે, અવળો એક માત્ર વિચાર; એ તો છે ઉદયાધીન, જાગૃત છે તે છૂટનાર ! પાર્શ્વનાથને પડ્યું ચૂકવવું, દસ ભવ સુધીનું વેર; અક્રમમાં જાગૃતિ ઉકેલે, સમતાથી આ વેરઝેર ! આત્મા પ્રગટ થયો હવે, પુરુષાર્થથી પરાક્રમ; અટકણ અભિપ્રાયો ઉખેડ, પછી તેનાં કર પ્રતિક્રમણ ! પ્રકૃતિ બાંધે અભિપ્રાય, પ્રજ્ઞા એને છોડતી જાય; અભિપ્રાયને ખોટો કહી, છેદ ઉડાડ્યે એ કપાય ! અભિપ્રાયની પડે અસર, સામો તો બાંધે અભાવ; ફળ તેનું આપે અચૂક, ચૂકાય આત્મનો સ્વભાવ ! ગમતું-ના ગમતું મળે, પુણ્ય ને પાપાધીન; નિમિત્ત આત્મરૂપ દેખી, પુદ્ગલ છે પર-પરાધીન ! પ્રતિક્રમણે અભિપ્રાય મુક્ત, નથી સહમતી ક્રિયામાં; સંજોગાધીન ચોર થયો, ન ધર દોષ હૃદયમાં ! અભિપ્રાય ફરતાં છૂટ્યો, દોષ મૂળથી જાતે; પૂર્વે પ્રોટેકશન ભૂલનું, તેથી બેઠેલી માથે ! અભિપ્રાય છૂટ્યો એટલે, પરમાણુ બને વિશ્રસા; બંધ પડ્યા વિણ શુદ્ધ થયાં, ફલિત થયાં તો મિશ્રસા ! પુદ્ગલ પરમાણુ કહે, ‘તમે’ થયાં’તા અમ પર લુબ્ધ; હવે થયા શુદ્ધાત્મા તમે, તો કરો અમને શુદ્ધ ! પ્રતિક્રમણ કર્યે થશો, અભિપ્રાયના વિરુદ્ધ; રિલેટિવમાં નિર્દોષ જો, રિયલમાં જુઓ શુદ્ધ ! (પા.૩૨)સવારમાં બોલ પાંચવાર, વિષયમાં નથી પડવું; ઉપયોગ રૂપિયા ગણતાં, રહે તેમ આ બોલવું ! આ કાળે કર્મબંધ પડે, મનુષ્યમાંથી તિર્યંચ; પાંચમાંથી એકેન્દ્રિયમાં, હજી ચેત મોક્ષે પહોંચ ! અક્રમ જ્ઞાન મળ્યું હવે, અટકણ બધી ઉખેડી નાખ; પળે પળ જાગૃત રહે, વિષયથી હવે તો તું થાક ! નિજ દોષ દેખાતો નથી, વિષયનો કેફ પૂરો દિ’; વિષય નડતર મહા મહા, છૂટવા ન દે કોઈ દિ’ ! જોતાં આવ્યો વિષય વિચાર, શાથી રહસ્ય એ જાણ; ભરેલો મોહ તેથી સંયોગ ભેગો થ્યો કહે છે જ્ઞાન ! ત્યારે મન પર્યાýય બતાડે, ભર્યા મોહ એ પ્રમાણે; પ્રતિક્રમણ કર ફરી ફરી, વિષય ગાંઠ ઉખાડે ! મેલને ધોયા કરો, કર ખેદ લગી અંત; ચોક્કસ ધોયે ખાલી થશે, પછી આવે સ્પષ્ટ વેદન ! વિષય બીજ પડે પછી, રૂપકે આવી અચૂક જાય; પણ જામ થયાં પૂર્વે, ધો ધો કર્યે હલકું થાય ! તાવ આવે બન્નેને, તો જ દવા પીવી; દબાણ કે યાચકપણું, એ તો જાણે ફોર્જરી ! વિષયની અટકણ એ જ, પરિભ્રમણનું કારણ; ફેરવ સુખનો અભિપ્રાય, પ્રતિક્રમણ છે મારણ ! એક પત્નીવ્રત આ કાળમાં, બ્રહ્મચર્યનું છે વરદાન; જો પરસ્ત્રી માટે તુજ, ના બગડે કદિય મન ! સ્ત્રીનું મોં જુએ ના સાધુ, એમાં છે કોણ ગુનેગાર; તું પાક્યો કોના પેટે, પકડો ભૂલને કરો ત્યાં ઠાર ! (પા.૩૩)મનની ચંચળતા મટે, બ્રહ્મચર્યથી મન બંધાય; યા આત્માનું જ્ઞાન થયે, મન તો શું, જગને જીતાય ! જ્ઞાનીનું વચનબળ, ને તારો દ્રઢ નિશ્ચય; પરણેલાં કે કુંવારા, પાળી શકે બ્રહ્મચર્ય ! અક્રમ જ્ઞાન સહિત, બ્રહ્મચર્યમાં થયો પાર; રાજાઓનો રાજા થશે, જગ કરે તેને નમસ્કાર ! વિષય જીતવા જાગૃતિ, પળ પળ ખપે પ્રતિક્રમણ; સામાયિક, વ્રતની વિધિ, રાખે છે શુદ્ધ ત્રિકરણ ! અણહક્કના વિષયે, જાનવર ગતિ થાય; આખો દિ’ પ્રતિક્રમણે, દ્રઢ નિશ્ચયે આમાંથી છૂટાય ! લોભ-લાલચમાં લપટો, કર્યા કરે તેનાં પ્રતિક્રમણ; આજ્ઞા પાળે દ્રઢપણે, તો જ તૂટે આ આવરણ ! દાદાની પ્રત્યેક ક્રિયા, જ્ઞાનમાં ચઢાવવા કાજ; પ્રકૃતિ છેદીને પૂર્ણ, આત્મજ્ઞાનમાં હવે રાચ ! અતિક્રમણની અંતિમ હદે, વાસુદેવ પ્રતિવાસુદેવ; સાતમી નર્ક ભોગવે, બીજો ન કોઈ પહોંચેય ! બગડી બાજી સુધાર આમ, ભાવ ન બગાડ ક્યાંય; બગડેલું પ્રતિક્રમણ કરી, ‘વસ્તુ’ સિદ્ધ આમ કરાય ! જુઠું બોલે તે કર્મફળ, તેમાં ભાવ તે કર્મબંધ; માટે પશ્ચત્તાપ કરી, અભિપ્રાયોને ફેરવ ! જૂઠનો અભિપ્રાય ઊડ્યો, પછી નથી જવાબદાર; જૂઠ એ છે કર્મફળ, તેનુંય ફળ આવે સંભાર ! રિલેટીવ ધર્મમાં ખોટાનું, ‘કરવું પડે’ પ્રતિક્રમણ; રિયલ ધર્મમાં ‘જ્ઞાતા-દ્રષ્ટા’, ‘થાય’ ખોટાનું પ્રતિક્રમણ ! (પા.૩૪)આખી જિંદગી કરવાનું એક, ‘ચંદુ’ કરે તે જોયા કરો; સારાં-ખોટાંનો નિકાલ કરો, દુકાન ખાલી, નવું ના ભરો ! વાણીથી દુઃખ થાય રે, તેનું તુરંત પ્રતિક્રમણ; આજ્ઞામાં રહેવાનો નિશ્ચય, વાણી જાણો પર ને પરાધીન ! આપણાથી ટકોર થાય, અભિપ્રાય દેખાડે ભિન્ન; આત્માર્થે બોલે જૂઠું, તે છે મહાસત્ય જાણ ! જગને દાદે કહી દીધું, વ્યવહાર છે ફરજિયાત; વ્યવહાર વ્યવસ્થિતાધીન, પ્રતિક્રમણ છે મરજિયાત ! બધી રીતે માફી માંગી, રૂબરૂમાં કે આંખ નરમ; છતાં ટપલી મારે તે, તો નમવાનું કરો બંધ ! ટકોરમાં હેતુ સોનાનો, પણ સામાને દુઃખ થાય; કહેતાં ના આવડ્યું તેનું, આમ પ્રતિક્રમણ કરાય ! સામાને દુઃખ થાય નહીં, એવી વાણી નીકળે; ડ્રામેટીક વ્યવહાર કરે, નહીંતર એ ધોવું પડે ! મશ્કરી, ગમ્મત, ‘જોક’ના, પ્રતિક્રમણ કરવાં પડે; નહીંતર જ્ઞાનીની વાણી, ‘ટેપરેકર્ડ’ ઝાંખી નીકળે ! બુદ્ધિશાળીથી મશ્કરી, ઓછી બુદ્ધિવાળાની; પ્રકાશનો છે ‘મીસ-યુઝ’, થાય અંતે મહીંવાળાની ! વાણીમાં કે ભાવમાં, અવળું જો નીકળે; ટેપ સામો કરે તુર્ત, પ્રતિક્રમણ ત્યાં ખપે ! પ્રતિક્રમણ કરવાથી, વાણી સુધરે આ ભવે; સ્યાદ્વાદ નીકળી દાદાની, વ્યવહાર શુદ્ધ થયે ! ખેદ કર્યા કરવાં કરતાં, જાગૃતિ રાખો વિશેષ; અંતરાય આવે તેને, ધોઈ કરો નિઃશેષ ! (પા.૩૫)‘આ’ સત્સંગનું વિષ સારું, બહારનું અમૃત ખોટું; અહીં લઢ-ઝઘડ, તોય મોક્ષ, કરે પ્રતિક્રમણ મોટું ! દાદા પાસે ન અવાય, તે ખેદ ને પ્રતિક્રમણ; ચિંતા, રાગ-દ્વેષ ધો, કર દાદાનું નિત્ય સ્મરણ ! પેશાબમાં કીડી તણાઈ, દાદા કરે પ્રતિક્રમણ; પુસ્તકની વિધિ વિના, વાંચ્યું તે થઈ ભૂલ ! હોય હિત સર્વનું છતાં, છૂટાં પાડ્યા બે જણ; અજ્ઞાનીનું સારું કર્યું, તોય કરવું પડે પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ ના થાય તે, છે પ્રકૃતિનો દોષ; અંતરાય કર્મ નથી, રાખ ભાવમાં જોવાનું જોશ ! નિકાચિત કર્મો ધોવા, ચિકાશ મુજબ રાખો સાબુ; જોર વધુ કરવું પડે, પછી જ્ઞાતા-દ્રષ્ટા પાકું ! રહે જૂની ભૂલોનો બોજ, ધોયા વિણ ન છૂટકો; પ્રકૃતિ ધો ‘પ્રતિક્રમણે’, એક જ દાદાઈ ગૂટકો ! ચીકણી ફાઈલોનું પ્રતિક્રમણ, કલાક બેસીને કર; નરમ થશે, પાછો વળશે, થશે જરૂર ફેરફાર ! પ્રતિક્રમણ પછી પ્રત્યાખ્યાન, ઉત્તમ થતું શુદ્ધિકરણ; ‘ફરી નહીં કરું’ એ નિશ્ચય, મહાવીરનું છે પચ્ચખાણ ! તું તો કર માત્ર ભાવ, કે કરવો સમભાવે નિકાલ; નિકાલ થવો કે ના થવો, એ નેચરનો સવાલ ! ફાઈલ નંબર એક ચીકણી, તેને ‘જોવા’થી જ જાય; ત્યાં જરૂર નથી પ્રતિક્રમણની, અક્રમ જ્ઞાને સરળ ઉપાય ! ગુનો આરોપી જ કરે, જજે ના લેવું કદિ માથે; ભૂલ કરે ચંદુલાલ, પ્રતિક્રમણ પણ એને માથે ! (પા.૩૬)અક્રમ જ્ઞાન પામ્યા પછી, ક્યારે ખાલી થાય ટાંકી; અગિયાર કે ચૌદ વરસે, પછી ન રહે બાકી ! કોઈકવાર જ ડખો, કોઈકવાર જ મરણ; ‘થવાનું’ ન વ્યવસ્થિતાધીન, ‘બન્યું’ તે જ વ્યવસ્થિત ! ભયંકર ઉદયોમાં પણ, રહે ‘વ્યવસ્થિત’નું જ્ઞાન; ‘જોયા’ કર શું બને તે, ત્યાં ન ખપે પ્રતિક્રમણ ! સાચું પ્રતિક્રમણ તેને કહીએ, જે ‘બોલે’ ત્રીજે દા’ડે; આકર્ષણ આપણી પર, ‘દાદા’ પણ કરે જાતે ! મરેલાંનું પ્રતિક્રમણ કર્યે, અમર આત્માને પહોંચે; ગૂંચો ઉકલે આપણી, ‘મરતા નથી’ એમ શોચે ! વાણી-દેહનાં પ્રતિકાર, રહે જ્યાં લગી વ્યવહારે; ન પ્રગટે સંપૂર્ણ શક્તિ, જો મનથી પણ પ્રતિકારે ! મનના વિચારો જોવાને, તે જુદા રાખ્યે ઊડે; દુઃખ કોઈને થાય તેનાં, પ્રતિક્રમણ તો કરવાં પડે ! બગડે આપણા ભાવ કે, સામાના આપણા માટે; કેમ બગડ્યા ન જોવાય, ચઢ પ્રતિક્રમણની વાટે ! ના ગમતું ચોખ્ખા મને, સહેવાશે ત્યારે વીતરાગ; બગડે ત્યાં કર પ્રતિક્રમણ, શક્તિ એની તું અહીં માંગ ! રાત્રે ચોપડો શુદ્ધાત્માનો, તપાસી ચોખ્ખો કરવો; જગતને નિર્દોષ જોઈ, પ્રતિક્રમણ કરી સુવો ! જ્ઞાની કે તીર્થંકરો માટે, અવળાં ભાવ, તુર્તે ધો; ફરી ફરી માફી માંગી લે, મનના ચાળાને તું ‘જો’ ! દેવસ્થાનની અશાતનાઓ, ધો કરી પ્રતિક્રમણ; અભ્યુદય પછી થાશે, નથી અન્ય નિવારણ ! (પા.૩૭)પાછલા દોષ દેખાય તે, ઉપયોગ છેદે આવરણ; યાદ આવે તે ધોવા માટે, કરી લે ઝટ પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ કર્યા નહીં, યાદ આવે તેથી; પ્રત્યાખ્યાન કર્યા નહીં, ઈચ્છા થાય તેથી ! ફરી ફરી દોષો યાદ આવે, ફરી ફરી એ ધોવાના; ડુંગળીના પડ જેમ નીકળે, અંતે મૂળથી જવાના ! યાદનું કર પ્રતિક્રમણ, ઈચ્છાના કર પ્રત્યાખ્યાન; પૂર્વે સુખ માન્યા તેની ઈચ્છા, વોસરાવ ને મિથ્યા માન ! સામા શુદ્ધાત્મા હાજરીએ, ફોન કરી ભૂલો જોઈ; પસ્તાવા સહ માફી માંગી, શોર્ટ પ્રતિક્રમણ અક્રમી ! થાય પૂર્વભવમાં દોષો, આ ભવે તે પ્રગટે; પ્રતિક્રમણ યથાર્થ થયે, આનંદ અમાપ ઉમટે ! રોજ એક કલાક જો, કાઢો પ્રતિક્રમણ કાજે; સગાં સંબંધી પાડોશીઓ, ધોવાનો મેળ બાઝે ! એથી દોષો ભસ્મીભૂત થશે, મેળે ફિલ્મ દેખાશે; આવી રીતે નિવારણ લાવી, જગ સંબંધોથી છૂટાશે ! દાદા કહે, અમે આમ કરેલું, એક-એકનું ધોયું; સામો મનમાં થાય દુઃખી, ત્યાં લગી ‘મને’ ઝંપ ન વળ્યું ! કામ કાઢી લો અક્રમથી, ફરી ન આવો સરળ માર્ગ; છોડો શોખ ગલીપચીનો, રહ્યો અડધો ભવ જાગ ! જ્ઞાની દેખાડે તે જ કરવું, ન નંખાય નિજછંદ રંગ; પરિણામ ક્યાંથી ક્યાં વહે, એને કહ્યો છે સ્વચ્છંદ ! પ્રતિક્રમણથી છૂટે, આ ભવે જ સર્વ વેર; સિદ્ધાંત છે આ મહાવીરનો, નથી બીજું એની પેર ! (પા.૩૮)બન્ને સામસામા કરે, તો જલદી ઉકલી જાય; અડધામાં પતી જાય તો, બીજું ઘણું ઉકેલાય ! એક દોષ પાછળ પછી, દોષોની શરૂ પરંપરા; ભેળસેળ ભ્રષ્ટાચાર, પશુગતિમાં લઈ જનારા ! પ્રતિક્રમણ યથાર્થ કહીએ, પ્રત્યેક પળે જે થાય; આખી જિંદગીના દોષો, જોઈ જાણીને ધોવાય ! અપૂર્વ પ્રતિક્રમણ અક્રમનું, સૈદ્ધાંતિક પારિણામિક; નાનપણથી આજ સુધીના, વિડીયોની જેમ દીસે લીંક ! હળવાં ફૂલ ને મુક્ત થવાય, સ્થૂળથી સૂક્ષ્મતમ ધોવાય; અંતે મૂળ ભૂલ જડતાં, અનેરો આનંદ ઉભરાય ! એક ફેર ચાલુ પ્રતિક્રમ, અટકે ના ક્યાંય લગી; બંધ કરવાનું કહે તોય, ચાલુ રહે ગરગડી ! જિંદગીના પ્રતિક્રમ સમે, ન દશા મોક્ષ કે સંસાર; પ્રગટે શક્તિ આત્માની, પ્રજ્ઞા દેખાડે ફોડી પાતાળ ! અંતઃકરણ સંપૂર્ણ બંધ, માત્ર પ્રજ્ઞા ક્રિયાવંત; એક-એક તોડે પડળ, સરવૈયે જન્મ-મરણ અંત ! પ્રતિક્રમણ કરે ત્યારે, આત્માને ન થાય અસર; રાગ-દ્વેષની સહી થયે, તેથી દોષ બંધાય અંદર ! પ્રતિક્રમણની લાગે લીંક, ને થાય આત્મ અનુભવ; સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા પદ, ને આનંદનો ઉદ્ભવ ! દોષનો થાય સ્વીકાર તો, તુર્ત એ ગયો ગણ; ઘરના નિર્દોષ દેખે ત્યારે, થાશે સાચું પ્રતિક્રમણ ! સામો સાચો દોષિત ક્યારે ? આત્મા જો કરે ત્યારે; પણ આત્મા તો અકર્તા, ક્રિયા માત્ર ડિસ્ચાર્જ રે ! કોઈ જીવ દોષિત દેખાય, નથી થઈ હજી શુદ્ધિ; ઈન્દ્રિયજ્ઞાન ત્યાં સુધી રહે, પ્રતિક્રમણ ધો અશુદ્ધિ ! (પા.૩૯)નિર્દોષ જગ છે પ્રતીતિમાં, અનુભવમાં આવે ક્યારે ? મછરાં-સાપ ફરી વળે, નિર્દોષ લાગે ત્યારે ! જ્ઞાનીને પ્રતીતિ-વર્તને, નિર્દોષ જગ વર્તાય; ઉપયોગ ચૂક્યાનાં પ્રતિક્રમણે, જાગૃત દશા સચવાય ! ઔરંગાબાદમાં વિધિ મૂકતાં, ‘દાદા’ વર્ષે એકવાર; સામસામી માફી માંગતા, ધોયાં વેર અનંત અવતાર ! બહુ મોટી વિધિ મૂકે, ચોખ્ખું સહુનું કરવા; એકબીજાના પગે પડી, રડી, છૂટ્ટે મોં થાય હળવાં ! ધર્મબંધુ જોડે જ બાંધે, ભવોભવથી વેર; પ્રતિક્રમણ કરી જા છૂટી, હૃદયે જ્ઞાની આજ્ઞા ધર ! જ્ઞાની કને આલોચના, કહી પ્રત્યક્ષ કે પેપરમાં; જ્ઞાનીને છોડાવા પડે, થયો અભેદ અંતરમાં ! જાહેર કરે ગુપ્ત દોષો, જ્ઞાની વિધિ કરી ધોઈ આપે; પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ કરાવે, મહિનો આલોચના વંચાવે ! જ્યાં પ્યોરીટી હાર્ટની, એકતા લાગે સહુ સંગે; મોટો દોષ રૂબરૂ ખોલ્યે, મન રંગાય જ્ઞાની રંગે ! ભગવાનની કૃપા ઉતરે, પામે આલોચનાનું ફળ; આલોચના રહે ગુપ્ત સદા, ન કરે જ્ઞાની એમાં છળ ! જ્ઞાની પાસે ઢાંકે દોષ, તો દોષો ડબલ થાય; છૂટકારો મુશ્કેલ બને, જાગૃતિ ખૂબ આવરાય ! આલોચના થાય ગુરુ કને, યા મહીંલા ‘દાદા’ની પાસ; પ્રત્યક્ષ મહીંલા ન થયે, ભજ ‘આ’ દાદાને ખાસ ! વિષય દોષ વિચિત્ર આ કાળે, પુત્રી-ભાઈ-બેન વેરે; સત્સંગમાં, સહાધ્યાયીમાં, હજુ ચેત ધોઈ લે રે ! (પા.૪૦)જેમ પત્ની સંગે પતિ, ન વિસરાય એક પલ; તેમ થયું પ્રતિક્રમણ સંગે, તો અનંત દોષ થાય હલ ! ટૂંકું પ્રતિક્રમણ બોંબાર્ડીંગે, શુદ્ધાત્મા પાસે લઈ માફી; પસ્તાવો લઈ, ‘ફરી ના કરું’ એટલું ટૂંકમાં કાફી ! ઊંડા વેર હોય ત્યાં તો, પદ્ધતસરનું પ્રતિક્રમણ; કરે તો જ છૂટે વેર, નવું અટકે અતિક્રમણ ! ઊંડા ઉતરે પ્રતિક્રમણે, તો પૂર્વભવ પણ દેખાય; કો’ક સરળ પરિણામીને, પડળ આરપાર છેદાય ! હોલસેલમાં દોષ હોય તેણે, એક જોડેના સો સો દોષ; ભેગું પ્રતિક્રમણ કરી લઈ, પછી પ્રત્યાખ્યાન ને પોષ ! જાણમાં થયેલા દોષોનું, વ્યક્તિગત ધોવું પડે; અજાણનાં જાથું કરવાં, પ્રતિક્રમણથી ઉકેલ જડે ! કોઈ વિષયના અસંખ્ય, દોષો ધોવા સામટાં; ત્યારે પહોંચાય ધ્યેયે, નહીં તો ક્યાંય રખડતા ! પૈણતી વખતે ફૂમતુ મૂકી, વટ માર્યો’તો અપાર; પ્રતિક્રમણ કરવા પડે જો, ન આવ્યો ત્યારે વિચાર ! નિજભાવમાંથી પરભાવમાં, પરદ્રવ્યમાં તન્મયાકાર; પાંચ આજ્ઞા પાળે તે, પરમાં ન જઈ શકનાર ! કદિ થાય નહીં આત્મા, પરભાવમાં તન્મયાકાર; ‘જાણે’ આત્મા તન્મયતાને, તન્મય થયો અહંકાર ! સ્વપ્નામાં પણ થઈ શકે, પ્રતિક્રમણ યથાર્થ; જાગ્યા પછીયે થઈ શકે, ગુનો ગમે ત્યારે કબૂલાય ! ‘સોરી’ એ પ્રતિક્રમણ નથી, છતાં પણ છે તે સારું; મનમાં એટેક રહે નહીં, સામાનુંય મટે ખારું ! શુક્લધ્યાન થયા પછી, પ્રતિક્રમણ ‘ક્રમ’માં પોઈઝન; પ્રતિક્રમણ અક્રમની દવા, પોતે પીવે નહીં, પીવડાવે ! (પા.૪૧)‘પોતે’ નથી કરવાનું, કરાવો ‘ફાઈલ એક’ કને; પ્રગટેલી પ્રજ્ઞા શક્તિ, દોષ દેખાડી ચેતવે ! અક્રમ જ્ઞાન પામ્યા પછી, ‘પોતે’ ‘શુદ્ધાત્મા બને; બાકીનું ‘વ્યવસ્થિત’ રહ્યું, માત્ર ‘જો’ ‘ફાઈલ’ ને ! ‘ચંદુ’ કરે તેને ‘જોયા’ કર, બીજું નથી કરવાનું; ‘જોવાનું’ જો ચૂકાય તો, પ્રતિક્રમણ ત્યાં કરવાનું ! નિજ વિપરિણામે બધાં, થાય ભેગાં સંયોગ; પ્રતિક્રમણથી શુદ્ધિ થઈને, થાય તેનો વિયોગ ! દરઅસલ સાયન્ટિસ્ટને, નથી જરૂર પ્રતિક્રમણની; આંગળી ના ઘાલે પ્રયોગે, દાઝે તેને જરૂર મલમની ! જ્ઞાની વાણી ભાસે વિરોધી, ખરેખર છે નિમિત્તાધીન; તાવ સરખો ટાઢિયો, એકને કવીનાઈન બીજે મેટાસીન ! પુદ્ગલ કરે અતિક્રમણ, પુદ્ગલ ચલાવે જગત; ચેતન ભાવને પામેલાં, પરમાણુ છે પુર-ગલ ! સ્વપરિણતી માની કરે, તો તે પૂરણ કહેવાય; પરપરિણતી માની કરે, તો તે ગલન કહેવાય ! પ્રતિક્રમણ કરે પુદ્ગલ, માફી શુદ્ધાત્માની માંગે; પુદ્ગલને ફોન ધકેલે આત્મા, થાય પ્રતિક્રમણ પુદ્ગલનું! પોતાના પુદ્ગલનું પ્રતિક્રમણ, પ્રજ્ઞા પોતાને કરાવે; સામાના પુદ્ગલનું પ્રતિક્રમણ, નુકસાન થાય જ્યારે! માફી માંગે શુદ્ધાત્મા કને, ભૂલ થઈ નિજ પુદ્ગલથી; પ્રતિષ્ઠિત આત્મા જોડે, ભૂલો ધૂએ પ્રતિક્રમણથી ! દોષનો જાણનાર પોતે, ને કરનાર સાવ જુદો; જ્ઞાયકભાવ ટકે નહીં, તેથી પ્રતિક્રમણ કરો ! ખોખું છે ‘ચંદુ’નું આજ, તેને બનાવ ભગવાન; આત્માનું પ્રતિબિંબ દિસે, ત્યાં સુધીનું છે ચઢાણ ! (પા.૪૨)અતિક્રમણ કરે અહંકાર, પ્રતિક્રમણ કરે અહંકાર; પ્રજ્ઞા ચેતવે દોષ સામે, શક્તિ સીધી આત્માની ! દુઃખ એના અહંકારને, ડાઘ આપણા રિલેટિવને; તે ધોવા કર પ્રતિક્રમણ, પરસત્તા અતિક્રમણે ! સમજો વાત વીતરાગની, કરવાનું નથી જ કંઈ; કંઈ ‘કરવા’માં છે બંધન, પછી ધરમ કરો કે નહીં ! નિર્દોષ જગ જાણ્યું સ્થૂળમાં, તેથી વર્તનમાં ન આવે; જાણપણું સૂક્ષ્મતમ સુધીનું, તો ત્યારે વર્તનમાં આવે ! દોષ થતાં પૂર્વે જ થાય, જ્ઞાનીનાં પ્રતિક્રમણ; લખાય ત્યાં પાછળ ભૂંસાય, જ્ઞાનીની જાગૃતિ ચરમ્ ! સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ જ, હોય ભૂલો જ્ઞાનીમાં; જગ સાંભળીને આફ્રીન બને, છતાં દોષ છે કાયદામાં ! દાદા દેખે સર્વના દોષો, છતાં દ્રષ્ટિ શુદ્ધાત્મા ભણી; તેથી વઢ્યા નથી કદિ, દોષ ઉદયકર્મના ગણી ! જાત્રામાં મહાત્માઓ લઢે, કરે સાંજે પાછા પ્રતિક્રમણ; સામસામા પગમાં પડે, જુઓ કેવું અજાયબ અક્રમ ! આજ્ઞામાં જ રહેવું નિશ્ચયે, છતાં ચૂકાય જ્યાં જ્યાં તે; પ્રતિક્રમણ તુર્તે તેનું કર્યે, સો માર્ક પૂરા ચૂકતે ! આજ્ઞામાં રહ્યો તે પરમાત્મા, ચૂક્યા તેનું પ્રતિક્રમણ; ન કરાય સ્વચ્છંદ આજ્ઞામાં, નર્કે જવાનું એ કારણ ! ગાળ મળે ત્યારે જુએ, શુદ્ધાત્મા ને ઉદયકર્મ; શુદ્ધ રહી શુદ્ધને જ જુએ, શુદ્ધ ઉપયોગ આત્મધર્મ ! અનિવાર્ય આત્મજ્ઞાન છે, મોક્ષ માટે બીજું નહીં; પ્રતિક્રમણ ઉપાય એક, બધાંને જ જરૂર નહીં ! (પા.૪૩)અક્રમમાં કરવાનું કહ્યું, જ્યારે વર્તે જાગૃતિ ડીમ; મોક્ષે જવા અક્રમે મૂકી, આજ્ઞા પ્રતિક્રમણની ટીમ ! નુકસાન કર્યું એ પરિણામ, ઈરાદો એમાં છે કારણ; કારણને નિર્મૂળ કરે, અક્રમના આ પ્રતિક્રમણ ! દાદા કહે અક્કલ વગરનો, એવાં અતિક્રમણે આનંદ; અપવાદી આ અતિક્રમણ, સહુને આવે બહુ પસંદ ! ચંદુ’ કરે તે ચારિત્રમોહ, તે ‘જોવા’થી અનુભવ થાય; ત્યાં પ્રતિક્રમણની જરૂર નહીં, આત્મદ્રષ્ટિથી ઊડી જાય ! પૂર્વે ખરડેલાં પરમાણુ, પ્રતિક્રમણથી શુદ્ધ ન થાય; પ્રતિક્રમણથી સામાને થયું, દુઃખ તેટલું ધોવાય ! જ્ઞાતા-દ્રષ્ટા રહે તેથી, પરમાણુ શુદ્ધ થાય; કર્તા પદે અતિક્રમણ, અકર્તા પદે મુક્ત થાય ! ‘કંઈ જ કરતો નથી હું’ ખ્યાલ રહે એવો નિરંતર; ત્યાં નથી જરૂર પ્રતિક્રમણની, રહે ન એનું સૌને નિરંતર ! અક્રમે સીધો ‘જંપ’ કરાવ્યો, ‘કેજી’થી ‘પી.એચ.ડી’; વચલાં ધોરણો ‘મેક-અપ’ કરવા, પ્રતિક્રમણ અદીઠ સીડી ! અક્રમ વિજ્ઞાન સંપૂર્ણ, સૈદ્ધાંતિક ક્રિયાકારી; જ્યાં કરવાનું કશું નથી, અહો અહો આ ઉપકારી ! આત્મ જ્ઞાન દઈને દીધું, દાદે સંપૂર્ણ વિજ્ઞાન; ભિન્ન ભિન્ન કેડીઓ પ્રકાશી, મધ્યમાં આત્મ સંધાણ ! ભાસે કવચિત્ વિરોધી વાત, ન હોય કદિ જ્ઞાનીની; જરૂર પ્રમાણે ‘એ.સી.’, ‘હીટર’, જનરેટરની વહેંચણી ! તેથી નથી તેમાં વિરોધી, વીજળીની આવી રીતિ; લક્ષમાં રાખી વાંચજો, સુજ્ઞ વાચકને વિનંતી ! (પા.૪૪)ખંડ-૨ : સામાયિકની પરિભાષાઅક્રમની સામાયિક ને પ્રતિક્રમણમાં ફેર; અતિક્રમણનું પ્રતિક્રમણ, પૂંજો વાળે નિજ ઘેર ! ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન, પંચાજ્ઞામાં રહેનાર; સહજ, સ્વાભાવિક દશા, એ સામાયિક નિરંતર ! ‘સામાયિક’માં જાણપણું વર્તે, વર્તમાન ક્ષણક્ષણનો; ઉપયોગ કાયમ ન રહે તો, સામાયિકમાં તે ખણખણતો ! અક્રમ સામાયિકે ઓગળે, મન-વચ-કાયનો સ્વભાવ; મહાત્માને આખો ‘દિ રહે, ‘સામાયિક જેવો પ્રભાવ’ ! બે ઘડી કરવાનું કહ્યું, ભરી લાવ્યા માલ ભંગાર; કાઢવા નહીં બીજી કેડી, વળી પાત્રમાં ન ભલીવાર ! લૌકિક સામાયિક એટલે, વિચારો કરે હાંક હાંક; મનને સ્થિર કરવા જાય, પાંશેરી ના બંધાય મેંઢક ! મન તો સ્થિર ક્યાંથી રહે, શીશીને જોતો જાય; ને વળી ગપ્પા મારે, વ્યાખ્યાન સાથે સંભળાય ! સામાયિક બાંધ્યા પછી, બે ઘડીની મળી છૂટ; મન ફાવે તેમ કરે એમાં, નિંદા કૂથલી કપટ ! ઉપાશ્રયમાં સામાયિકો, જોવા જેવી થઈ જાય; પાટધર જાગો હવે તો, ગાડરીયાને સંવારાય ! મન લપટું પડ્યું જ્યાં, કેમનું બંધાય કુંડાળે; નક્કી કરે નથી વિચારવું, દુકાન પહેલે ધબડકે ! સામાયિકમાં વાંચે પુસ્તક, એ તો છે સ્વાધ્યાય; પરોવ્યો અન્યમાં ઉપયોગ, સાચું ના કહેવાય ! ક્યાં પુણિયાનું સામાયિક, એકુય કોઈથી નવ થાય; સાધુ, આચાર્યો, મુનિવર્યો, ગચ્છાધિપતિ ત્યાં પછડાય ! (પા.૪૫)દ્રવ્ય સામાયિકો કર્યા કર્યું કદિ ભાવ સામાયિક; ભાવને તો સાવ ભગાડ્યું, રહ્યા માત્ર દ્રવ્ય ક્રમિક ! આવી સામાયિક કરવા કરતાં, ધરો સમતા સંસારમાં; ઘરમાં ધણી છોકરાં સાસુ, દેરાણી કે સગાવહાલાં ! કઢંગી રસાકસીવાળી, સામાયિકનું શું કામ ? જ્યાં સ્થિર મન ના રહે, ન ઊપજે બે બદામ ! અહીં તો છે કાંટો મહાવીરનો, વીરગત સ્વીકારાય; નથી રાજ પોપાબાઈનું, પોલ ન સ્હેજ ચલાવાય ! આર્ત-રૌદ્રધ્યાન જાય, એ જૈન ધર્મનો સાર; એ ના ગયાં તો, બળ્યો તારો આ અવતાર ! મન વશ વિનાનું સામાયિક, અધ્યાત્માનું ન વળે કંઈ; માત્ર હાંકે કુત્તા બિલ્લી, એ સામાયિક કે ભવઈ ! સમરંભ એટલે મનથી કર્મ, સમારંભમાં વચનથી; નિયમ કર્મબંધના, આરંભ થાય વર્તનથી ! સામાયિક કરતાં શેઠ બોલે, શું ફૂટ્યું ઘર મહીં આજ ? ‘આત્મા તારો ફૂટી ગયો’, ગઈ મહાવીરની લાજ ! જેનાં બંધ થયાં સંપૂર્ણ, આર્ત ને રૌદ્ર ધ્યાન; એ નિરંતર સામાયિકમાં, સિક્કો મારે ભગવાન ! શેઠ કરે છે સામાયિક, ગયા હોય તે ઉકરડે; યા તો ધંધે ગણત્રીઓ, ચઢ્યા જો ઊંધે રવાડે ! અંદર-બહાર જુદું વર્તે, તેને સામાયિક કઢંગી; મહાવીર એને ના સ્વીકારે, ના ચાલે ત્યાં દો-રંગી ! જ્ઞાનવિધિ એવી સામાયિક, જાતે થઈ ના શકે; તેથી તેમાં ફરી ફરી બેસવા, દાદા કાયમ કહે ! (પા.૪૬)‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ સામાયિક છે એનું નામ; પાંચ આજ્ઞામાં રહ્યે થાય, આખો દિવસ આત્માનું કામ ! શુદ્ધાત્મા જોવાનું બને, એક કલાકે ય અવિરત; શ્રાવક પુણિયાનું સામાયિક, સર્વોચ્ચ શુદ્ધ ઉપયોગ ! જગ વિસ્મૃત શુભ ઉપયોગે, એ સામાયિક કહેવાય; ઉપયોગ અશુભે અધોગતિ, એને સાચું ન ગણાય ! સામાયિકનો ખરો અર્થ, ન થવા દે વિષમભાવ; ગાળો દે, મારે કરે, તોય ન એનાં પલટે ભાવ ! સાર સામાયિકમાં બને, શ્રમણ જેવો શ્રાવક; સમતાધારી દશાએ વરે, એ સાચો મહાવીર ચાહક ! અક્રમમાં મહાત્માઓને, સામાયિક શીખવાડાય; પદ્માસનની જરૂર નહીં, ઢીંચણ જામ થઈ જાય ! પ્રથમ આત્મવિધિ કરીને, આત્મસ્વરૂપમાં સ્થિત થઈ; અંતઃકરણના પ્રત્યેક પાર્ટના, જ્ઞાતા ને દ્રષ્ટા રહી ! આત્માને જુદો પાડીને, જોવું બધું મહીંલું; જોવા મળે બે ઘડી ફિલ્મ, પ્રગટે આનંદની છોળ્યું ! અક્રમ માર્ગે સામાયિકની જરૂર, જાગૃતિ ઉપયોગે જરૂર ખાસ; નિરંતર શુદ્ધ ઉપયોગીને, દોષો થતા જાય ખલાસ ! વિચાર આવ્યો, દ્રષ્ટિ બગડી, ‘ન હોય મારું’ કરી છૂટ; સામાયિકમાં ‘વિષ’ ગાંઠ, ઓગાળી શકાય ઝટ ! સામાયિક કે પ્રતિક્રમણ, અક્રમમાં નથી ક્રિયા સ્થૂળ; આ જ્ઞાનક્રિયા છે પ્રજ્ઞાની, આત્માની શક્તિ એ મૂળ ! સામાયિકમાં મન મજબૂત, સંયમની શક્તિઓ વધે; ગમ્મે તેવી ગાંઠો પીગળે, આત્મસુખને સ્પષ્ટ વેદે ! (પા.૪૭)વિષય, કષાય, મોહ ગ્રંથિ, દોષો સામાયિકમાં જોતાં; આત્મદ્રષ્ટિએ ગ્રંથિ ઓગળે, કચરા થાય ખાલી ખોટા ! પૂર્વ દોષોના પર્યાયો, દેખાયા ખોતરી ખોતરી; હાજર આત્મા થયો ત્યાં, ખુલે સર્વ ભૂલો જે કરી ! આમ યાદ કરવા જાય તો, ન આવે કશુંય યાદ; સામાયિકમાં આત્મપદે, દોષો દીસે સડસડાટ ! સામાયિકમાં દોષ દેખે, ફરી ફરી જોવું ઠેઠ સુધી; પ્રગટે આત્મચારિત્ર એમાં, રાજ લક્ષ્મી દલાલીમાં ! શરૂ સામાયિક આઠ મિનિટ, અડતાલીસે પૂરી થાય; એવ વધુ ન ટકે ધ્યાન, ક્ષણ માટે પણ એ કપાય ! સામાયિકમાં મન બીજે, તેથી શું કામ ગભરાય ? એ જ્ઞેય ને ‘પોતે’ જ્ઞાતા, બહાર હુલ્લડ ઘરમાં શું થાય ? ‘વ્યવહાર’ સામાયિક મનથી, ‘નિશ્ચય’ની આત્માથી થાય; ‘વ્યવહારે’ પુણ્યાનુબંધી, ‘નિશ્ચય’થી નિર્ગ્રંથ થાય ! સામાયિક ને પ્રતિક્રમણ, અક્રમમાં સાથે જ હોય; જોવું-જાણવું ને ધોવું, ત્યારે પ્રયોગ પૂર્ણ થાય ! આ કાળે વિષય વધુ, તેની શુદ્ધિકરણ પ્રયોગ; હિંસા, માન, લોભ, કપટ, ક્રોધના નીકળી જાય રોગ ! જુદાપણાની જાગૃતિ માટે, સામાયિક દાદા સૂચવે; એ પ્રયોગ કરે તે જાતે, જ્ઞાની જેવું અનુભવે ! હે શુદ્ધાત્મા ભગવન, તમે જુદા ને ચંદુ જુદો; હે શુદ્ધાત્મા તમે રિયલ, છે ચંદુ તો રિલેટિવ ! શુદ્ધાત્મા છો તમે પરમેનન્ટ, ને ચંદુ છે ટેમ્પરરી; શક્તિ માંગો ખૂટતી, જ્યાં જ્યાં લાગે જરૂરી ! (પા.૪૮)અરીસા સામાયિક અજોડ, અદ્ભૂત જ્ઞાનીની આ શોધ; ‘કમ્પ્લિટ’ જુદો જોઈને, ટકોરોનો વહાવ ધોધ ! ‘આવાં આવા દોષ કર્યાં તેં’, જાતને ઠપકો ખૂબ આપ; ભાડુતી આમાં ચાલે નહીં, એનું તો કરી નાખે શાક ! ઠપકા સામાયિકમાં, તો, જાતને ઠપકો જોરદાર; અગાસીમાં જઈ ટૈડકાવ, શેઠ પોતે ને પોતે નોકર ! પુદ્ગલ સ્વભાવ જૂનું થાય, તેમ તેમ બગડતું જાય; નવેસરથી કર સામાયિક, બાકી કચાશ પાછી કઢાય ! ‘નથી થતી, નથી થતી...’ સામાયિક એનુંય થાય; ‘થાય છે, થાય છે’ એ, સામાયિકે તૂટે અંતરાય ! ‘જોનારા’ને ‘જુએ’ જુદો, અક્રમ સામાયિકમાં બને; ‘શુદ્ધાત્મા’ સ્વ-પર પ્રકાશક, ‘મૂળાત્મા’ પ્રકાશે બેઉને ! આત્મા એ જ સામાયિક, નિરંતર એ જ રહે; પાછલા દોષ ધોવા વિશેષ, સામાયિકનું જ્ઞાની કહે ! શુદ્ધાત્માનું લક્ષ પછી, આપે આજ્ઞા પાળ પાંચ; પ્રતિક્રમણ-સામાયિક કર, આજ્ઞા ચૂકે જો પાંચ ! દાદા ભગવાન પ્રરૂપિત, સામાયિક-પ્રતિક્રમણ; યથાર્થ મહાવીરનું આજ, દાદે પીરસ્યું જમણ ! - ડૉ. નીરુબેન અમીન (પા.૧)પ્રતિક્રમણ (ખંડ-૧)[1] પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપજીવનમાં કરવા યોગ્યમુમુક્ષુ : મનુષ્યે આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ ? દાદાશ્રી : મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેને માટે પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કોનું કરવું ? કોની સાક્ષીમાં કરશો ? ત્યારે કહે, ‘દાદા ભગવાન’ની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય. આ તો ભાદરણના પટેલ છે, એ. એમ. પટેલ છે. ‘દાદા ભગવાન’ અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયેલો છે, એટલે એના નામથી પ્રતિક્રમણ કરો કે હે દાદા ભગવાન, મારું મન બગડ્યું તે બદલ માફી માગું છું. મને માફ કરો. હું પણ એમના નામનું પ્રતિક્રમણ કરું છું. મુમુક્ષુ : તો પછી આ સંસારમાં આપણું કર્તવ્ય શું ? દાદાશ્રી : આ સંસાર શું ચાલી રહ્યો છે, તે સાક્ષીભાવે જોયા કરવાનો. અને અહંકાર થાય તો માફી માંગવાની ભગવાનની. કોઈ જગ્યાએ અહંકાર થાય, ‘હું કરું છું’ એવો અહંકાર ચઢે, તો પછી માફી માંગવાની. માફી માંગો છો ? (પા.૨)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કોની માંગો છો ? ભગવાનની ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ભગવાનની માંગવી, એટલો જ ઉપાય છે. કારણ કે માફી માંગો એટલે માફ થાય. ભૂલ થઈ જાય તો કહેવું કે, હે પ્રભુ ! મારી ભૂલ કરવાની ઇચ્છા નથી, છતાં થઈ જાય છે, માટે ક્ષમા કરશો. પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થતો કે ભગવાનની માફી માંગીએ છીએ, પૂજા કરીએ છીએ, તે શા માટે ? દાદાશ્રી : એ તો દુનિયાના ગુના થયેલા, તેની માફી માંગીએ છીએ. જેને ગુના નથી તેને માફી શેને માટે માંગવાની ? કર્મથી પર, પરમાત્મામુમુક્ષુ : પરમાત્મા સુધી પહોંચવા માટે ધર્મને બાજુએ રાખી અને સારાં કર્મો જ કરીએ તો પછી પરમાત્માને પહોંચી શકાય કે નહીં ? દાદાશ્રી : ના, કર્મને ને આને લેવાદેવા નથી. સારાં કર્મો કરો એટલે ધર્મ થાય, બીજું કશું નહીં. ખરાબ કર્મ કરો તો અધર્મ થાય. તમે સારાં કર્મો કરો તો લોક કહે કે, બહુ સારા માણસ છે. સારાં કર્મ કરો એટલે ધર્મ કહેવાય અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય અને ધર્મ-અધર્મની પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારાં કર્મ કરો એટલે ક્રેડીટ ઉત્પન્ન થાય અને એ ક્રેડીટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબીટ ઉત્પન્ન થાય. અને એ ડેબીટ ભોગવવા જવું પડે અને જ્યાં ચોપડીમાં ક્રેડીટ-ડેબીટ નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થાય. બિલકુલેય એક ડોલરેય ક્રેડીટ નથી અને એક ડોલરેય ડેબીટ નથી તો આત્મા પ્રાપ્ત થાય. (પા.૩)પસ્તાવાથી પ્યૉરિટીમુમુક્ષુ : આ સંસારમાં આવ્યા એટલે કર્મ તો કરવાં જ પડેને ? જાણે-અજાણે ખોટાં કર્મ થઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : થઈ જાય તો એનો ઉપાય હોયને પાછો. હંમેશાં ખોટું કર્મ થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી, સિન્સિઆરિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ. એની પાછળ શું વિજ્ઞાન છે એ તમને ખ્યાલ ના આવે એટલે તમને એમ લાગે કે આ પસ્તાવો કરવાથી બંધ થતું નથી. શાથી બંધ થતું નથી એ વિજ્ઞાન છે. માટે તમારે પસ્તાવો જ કર્યા કરવાનો. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. ખરાબ લાગ્યું એટલે એને પસ્તાવો કરવો જ જોઈએ. મુમુક્ષુ : શરીરના ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત્ત લેવાં પડે ? દાદાશ્રી : હાસ્તો ને ! જ્યાં સુધી ‘હું આત્મા છું’ એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત્ત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણુંય જતું રહે, ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની, પીવાની, માન-તાન તો કોઈ દહાડો દેખાય જ નહીં, કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે. હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ ? કોની સાક્ષીએ કરવો જોઈએ કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય, એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મે છે, ત્યાર પછી દર્દ ઊભું થાય છે. (પા.૪)આજે દર્દો થયાં છે ને, એનો ઉપાયનો જન્મ પહેલો થઈ ગયો હોય. એટલે છોડવો ઊગી નીકળ્યો હોય, ત્યાર પછી પેલાં દર્દ ઊભાં થાય. એટલે દુનિયા તો બહુ એક્ઝેક્ટ છે. તમારે ઉપાય કરવાની જ જરૂર. ઉપાય હોય જ ! ક્રમણ-અતિક્રમણ-પ્રતિક્રમણઆ જગત ઊભું કેમ થયું ? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી ને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. બીજું બધું ક્રમણ તો છે જ. સ્હેજાસ્હેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી, પણ અતિક્રમણ થયા વગર રહેતું નથી. માટે એનું પ્રતિક્રમણ કરો. મુમુક્ષુ : આ અતિક્રમણ થયું એની પોતાને ખબર કેવી રીતે પડે ? દાદાશ્રી : એ પોતાનેય ખબર પડે ને સામાનેય ખબર પડે. અતિક્રમણ થયું તે સામાનેય ખબર પડે. આપણને ખબર પડે કે એના મોઢા પર અસર થઈ ગઈ છે અને તમનેય અસર થઈ જાય. બન્નેને અસર થાય. એટલે એનું પ્રતિક્રમણ હોય જ. પોલીસવાળો રોકે ને તું ગાડી ઊભી ના રાખું, તો તે અતિક્રમણ કર્યું. તે તેનું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો કોર્ટમાં જવું પડે. આપણે ખાઈએ છીએ એ અતિક્રમણ નથી. ત્યારે શું વાળ કપાવીએ છીએ તે અતિક્રમણ છે ? મુમુક્ષુ : ના. દાદાશ્રી : ત્યારે દાઢી કરીએ છીએ તે અતિક્રમણ છે ? (પા.૫)મુમુક્ષુ : ના. દાદાશ્રી : ત્યારે સવારમાં બ્રશ કરીએ છીએ તે અતિક્રમણ છે ? મુમુક્ષુ : ના, એય નહીં. દાદાશ્રી : અતિક્રમણ તો, ક્રોધ-માન-માયા-લોભ એ બધાં અતિક્રમણ કહેવાય. આનાં પ્રતિક્રમણ કર્યાં એટલે ક્રોધ-માન-માયા-લોભ ગયાં. અતિક્રમણ થયું ને પ્રતિક્રમણ કર્યું, તો ક્રોધ-માન-માયા-લોભ ગયાં. અજ્ઞાનના ધક્કે, અનંતા પ્રોજેક્શન્સએવું છે, જીવમાત્ર પ્રોજેક્ટ (યોજના-ભાવ) કર્યા કરે છે. સ્વભાવિક રીતે નહીં, પણ ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે. ને આપણે પ્રતિક્રમણ કર્યા કરવાં. એટલે અજ્ઞાનતાના ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે, સંજોગવશાત્. એટલે પછી આપણે પ્રતિક્રમણ કરવાં. પાછું એક જાતનું પ્રોજેક્ટ નથી, અનંત જાતનાં પ્રોજેક્ટ. જ્યાં જેવો ભેગો થાય ત્યાં આગળ કર્યા વગર રહે નહીં. ફરી બ્રીજ (પુલ) ઉપર જો કદી વાત નીકળે ત્યારે કહેશે, ‘આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?’ એવુંયે મહીં પૂછે. અલ્યા, તારે આમાં શું લેવાદેવા, કંઈ બ્રીજે આપણી જોડે શાદી કરી છે ? બ્રીજ ઉપર આવ્યો, તેથી તેને આવું ચક્કર યાદ આવ્યું ! આ તો બ્રીજ ઉપર ગયા અને પેલી બાજુ ઊતરી ગયા. એટલે કશું લેવાદેવા નથી તોયે પણ ત્યાં આગળ શું કરે ? ‘આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?’ એવું લોક બોલે કે ના બોલે ? મુમુક્ષુ : બોલે પણ એ તો પાંચ જ મિનિટમાં પાંચ હજાર પર્યાય ઊઠે. દાદાશ્રી : પાંચ હજાર તું બોલે છે, પણ પાંચ મિનિટ એટલે ત્રણસો સેકન્ડ થઈ, ને સેકન્ડના સમય કેટલા પાર વગરના થાય ! એટલે એક સેકન્ડમાં તો કેટલા બધા પર્યાય ઊભા થઈ જાય ! આવાં પાર વગરનાં અતિક્રમણ કર્યા જ કરે છે. (પા.૬)અતિક્રમણથી આ સંસાર ઊભો થયેલો છે અને પ્રતિક્રમણથી નાશ થાય. પ્રતિક્રમણની પરિભાષામુમુક્ષુ : આપણને અણગમતું એવું કંઈક બનતું હોય અને એ સહી લેવું એને પ્રતિક્રમણ કહો છો આપ ? દાદાશ્રી : ના, સહન ના કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ. મુમુક્ષુ : તો પ્રતિક્રમણ એટલે શું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ બિલકુલેય ગુનેગાર નથી હોતો. એક સેન્ટેય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે. અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવાં જોઈએ. એના તરફ નાલાયક છે, લુચ્ચો છે, એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એના જ ઝઘડા છે બધા. અવળા ચાલ્યા તે અતિક્રમણઆખા દહાડામાં જે વ્યવહાર કરીએ છીએ તેમાં જ્યારે કંઈક અવળો થઈ જાય છે, તો આપણને ખબર પડે છે કે આની જોડે અવળો વ્યવહાર થઈ ગયો. ખબર પડે કે ના પડે ? તે આપણે વ્યવહાર કરીએ છીએ, એ બધું ક્રમણ છે. ક્રમણ એટલે વ્યવહાર. હવે કો’કની જોડે અવળું પડી ગયું. (પા.૭)એવું આપણને ખબર પડે કે આની જોડે મારે કડક શબ્દ બોલાયો કે વર્તનમાં અવળું થયું. ખબર પડે કે ના પડે ? તો એ અતિક્રમણ કહેવાય. અતિક્રમણ એટલે આપણે અવળા ચાલ્યા. એટલું જ સવળા પાછા આવ્યા એનું નામ પ્રતિક્રમણ. અવળા ચાલ્યા એનું નામ અતિક્રમણ અને પાછા આવીએ એનું નામ પ્રતિક્રમણ. આમ તરત ધોવાઈ જાયજ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી ને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી. તમને ‘ગમે’ તે બીજાને આપો. તેનાથી પુણ્ય બંધાશે. પોતાને ગાળ સહન થતી નથી ને બીજાને પાંચ આપે છે. નથી ગમતું તે બીજાને આપે તે ભયંકર ગુનો છે. એ ના હોવું જોઈએ. અને કો’ક આપણને આપી જાય તે કાયદેસર છે. એને કેમ આપે છે એમ પૂછવા ના જશો. એને જમે જ કરી દેવાનું. મુમુક્ષુ : ઉઘરાણી કરવા જઈએ તો શું થાય ? દાદાશ્રી : બીજી બે આપે. અને એને કહીએ કે બે જ કેમ આપી ? ત્રણ નહીં, ચાર નહીં, એક નહીં. ત્યારે કહે કે ‘હું કંઈ નવરો છું ?’ એટલે કાયદેસર છે. જમે કરી લો. તમે આપશો નહીં અને અપાઈ જાય તો તમે પ્રતિક્રમણ કરો. છોકરાને મારવાનો અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં કર્મ ચોંટ્યાં જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને, ક્રોધ-માન-માયા-લોભને લઈને, કષાયો થકી ધીબી નાખ્યો. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે ‘દાદા’એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તોય ધોવાઈ જાય, તરત ને તરત ધોવાઈ જાય એવું છે. (પા.૮)પ્રતિક્રમણ કોણે નથી કરવાનાં ?દાદાશ્રી : તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ? પ્રશ્નકર્તા : એક પણ નહીં. દાદાશ્રી : તો અતિક્રમણ કેટલાં કરો છો ? અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ હોય જ. અતિક્રમણ ના હોય ત્યાં પ્રતિક્રમણની જરૂર નથી. ‘હું ચંદુભાઈ’ એ જ અતિક્રમણ. છતાં વ્યવહારમાં એ લેટ ગો કરીએ. પણ કોઈને દુઃખ થાય છે તમારાથી ? ના થાય તો એ અતિક્રમણ થયું નથી. આખા દહાડામાં કોઈને પોતાનાથી દુઃખ થયું એ અતિક્રમણ થયું. એનું પ્રતિક્રમણ કરો. આ વીતરાગોનું સાયન્સ છે. અતિક્રમણ અધોગતિમાં લઈ જશે ને પ્રતિક્રમણ ઊર્ધ્વગતિમાં લઈ જશે અને ઠેઠ મોક્ષે જતાં પ્રતિક્રમણ જ હેલ્પ આપશે. પ્રતિક્રમણ કોને ના કરવાનું હોય ? જેણે અતિક્રમણ ના કર્યું હોય તેને. અતિક્રમણની ઓળખાણપ્રશ્નકર્તા : આપણને કોઈ દુઃખ દેવાનો ભાવ નથી છતાં દુઃખ નિમિત્તરૂપે અપાઈ જાય છે તો એવો અભિપ્રાય બાંધવાની જરૂર ખરી કે અતિક્રમણ થયું ને તેનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : કો’કને ખોટું લાગે એવું તમે બોલ્યા હોય, કો’કને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય, કો’કને દુઃખ થાય એવો તમારો ધક્કો વાગ્યો હોય, ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય. ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અતિક્રમણ કર્યું એટલે ભૂલ કરી અને તેથી કર્મ બંધાશે. પ્રશ્નકર્તા : જો સામી વ્યક્તિ નિમિત્ત જ હોય તો એને દુઃખ કેમ લાગે ? તો પ્રતિક્રમણ કરવાની કેમ જરૂર ? દાદાશ્રી : એને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવું પડે. દુઃખ ના થાય એવું થયું હોય તો અતિક્રમણ ના કહેવાય. એટલે અતિક્રમણ થાય તો (પા.૯)પ્રતિક્રમણ કરવાનું. એવું છે ને, આ બધું ખાય-પીએ, વાતોચીતો કરે એ બધું ક્રમણ છે. આખો દહાડો ક્રમણ જ હોય છે. વહેલું ઊઠવું, મોડું ઊઠવું એ બધું ક્રમણ જ હોય છે. હમણે એક જણ ઊઠી અને કો’કને ગાળ ભાંડે એટલે તમે બધાય સમજી જાવ કે, ગાડું સીધું ચાલતું હતું, તે આવું અતિક્રમણ શું કરવા કરે છે ? એને અતિક્રમણ કહેવાય. કોઈને દિલ દુઃખ થાય એવું કશું કર્યું હોય, એ અતિક્રમણ સહજભાવે હોય, તોય પ્રતિક્રમણ કરવું પડે. આમ મોઢે ના બોલે ને મન બગડ્યું હોય તોય કરવું પડે. પ્રતિક્રમણ એટલે તમને સમજણ પડે એ રીતે એની માફી માંગવાની છે. આ દોષ કર્યો એ મને સમજાયો, ને હવે ફરી આવો દોષ નહીં કરું એવું ડીસાઈડ કરવું જોઈએ. આ આવું કર્યું તે ખોટું કર્યું, આવું ના થાય, અને આવું ફરી નહીં કરું, એવી પ્રતિજ્ઞા લેવાની. છતાંય પાછું ફરી થાય, પાછો એનો એ જ દોષ આવે તો ફરી પસ્તાવો કરવાનો, પણ જેવું દેખાયું એનો પસ્તાવો કર્યો, એટલું ઓછું થઈ ગયું, એમ ધીમે ધીમે બધું ખલાસ થઈ જાય છેવટે. જે ધર્મથી કર્મનો નાશ ના થાય, એને ધર્મ કેવી રીતે કહેવાય ? નવાં કર્મ ક્યારે અટકે ? પ્રતિક્રમણથી. રીત, શક્તિઓ માંગવાનીપ્રશ્નકર્તા : ઊંચે ચઢવા માટે આ શક્તિઓ કઈ રીતે માગવી ને કોની પાસે માંગવી ? દાદાશ્રી : પોતાના શુદ્ધાત્મા પાસે, ‘જ્ઞાનીપુરુષ’ પાસે શક્તિઓ મંગાય અને જેને સ્વરૂપનું જ્ઞાન ના હોય તે પોતાના ગુરુ, મૂર્તિ, પ્રભુ જેને માનતો હોય તેની પાસે શક્તિઓ માંગે. જે જે પોતાનામાં ખોટું દેખાય તેનું ‘લિસ્ટ’ કરવું જોઈએ ને તે માટે શક્તિઓ માંગવી. શ્રદ્ધાથી, જ્ઞાનથી જે ખોટું છે તેને નક્કી કરી નાખો કે આ ખોટું જ છે. તેનાં પ્રતિક્રમણ કરો, ‘જ્ઞાની’ પાસે શક્તિઓ માંગો કે આવું ના હોવું ઘટે તો તે જાય. મોટી ગાંઠો (પા.૧૦)હોય તે સામાયિકથી ઓગાળાય ને બીજા નાના નાના દોષો તો પ્રાર્થનાથી જ ઊડી જાય. વગર પ્રાર્થનાથી ઊભું થયેલું પ્રાર્થનાથી ઊડી જાય. આ બધું અજ્ઞાનથી ઊભું થઈ ગયું છે. પૌદ્ગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઊડી જાય. લપસી પડવું સહેલું છે ને ચઢવું અઘરું છે. કારણ કે લપસવામાં પૌદ્ગલિક શક્તિઓ હોય છે. જ્ઞાનીના જ્ઞાનથી, નિવેડો કર્મો થકીમુમુક્ષુ : ઘણી વખત વ્યવહારમાં જુદી જુદી જાતનાં કર્મો કરવાં પડે છે, જેને ખરાબ કર્મો અથવા પાપકર્મ કહે છે, તો એ પાપકર્મથી કેવી રીતે બચી શકાય ? દાદાશ્રી : પાપકર્મનું જેટલું જ્ઞાન હોય એમને, એ જ્ઞાન હેલ્પ કરે. આપણે અહીંથી સ્ટેશને પહોંચવું હોય, તો સ્ટેશને જવાનું જ્ઞાન આપણને હોય તો તે આપણને પહોંચાડે. પાપકર્મોથી કેવી રીતે બચી શકાય ? એટલે જ્ઞાન જેટલું હોય, આમાં પુસ્તકમાં જ્ઞાન કે બીજા કોઈની પાસે જ્ઞાન હોતું નથી. એ તો વ્યાવહારિક જ્ઞાન હોય છે. નિશ્ચયજ્ઞાન એ ફક્ત જ્ઞાનીઓની પાસે હોય. એ પુસ્તકમાં નિશ્ચયજ્ઞાન હોતું નથી. એ તો જ્ઞાનીઓના હૃદયમાં છુપાયેલું હોય છે. એ નિશ્ચયજ્ઞાન જ્યારે આપણે સાંભળીએ, વાણીરૂપે સાંભળીએ ત્યારે આપણો નિવેડો આવે. નહીં તો પુસ્તકમાં વ્યાવહારિક જ્ઞાન હોય છે. એય પણ ઘણા ખુલાસા આપી શકે છે. એનાથી બુદ્ધિ વધે છે. મતિજ્ઞાન વધતું જાય. શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન વધે ને મતિજ્ઞાન એનો નિવેડો લાવે. પાપથી કેમ છૂટવું તે ! બાકી બીજો કોઈ ઉપાય છે નહીં. અને બીજી પોતાની ભાવના, પ્રતિક્રમણ કરે તો છૂટે. પણ પ્રતિક્રમણ કેવું હોય ? ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ. દોષ ઉત્પન્ન થતાંની સાથે જ પ્રતિક્રમણ કરવામાં આવે તો નિવેડો આવે. અન્યાયી વ્યવહારનું પ્રાયìશ્ચત્તમુમુક્ષુ : વ્યવહાર, વ્યાપાર ને અન્ય પ્રવૃત્તિમાં અન્યાય થતો લાગે અને તેથી મનને ગ્લાનિ થાય, તેમાં જો વ્યવહાર જોખમાય તેના માટે શું (પા.૧૧)કરવું ? આપણાથી જો આવો કોઈ અન્યાય થતો હોય તો તેનું શું પ્રાયશ્ચિત્ત ? દાદાશ્રી : પ્રાયશ્ચિત્તમાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોવું જોઈએ. જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય ત્યાં આલોચના-પ્રતિક્રમણ હોવું જોઈએ અને ફરી અન્યાય નહીં કરું એવું નક્કી કરવું જોઈએ. જે ભગવાનને માનતા હો, કયાં ભગવાનને માનો છો ? મુમુક્ષુ : શિવને. દાદાશ્રી : હા, તો તે શિવની પાસે, ત્યાં આગળ પશ્ચાત્તાપ લેવો જોઈએ. આલોચના કરવી જોઈએ કે મારાથી આ મનુષ્યો જોડે આવો ખોટો દોષ થયો છે, તે હવે ફરી નહીં કરું એવો. આપણે વારેઘડીએ પશ્ચાત્તાપ કરવો પડે. અને ફરી એવો દોષ થાય તો ફરી પશ્ચાત્તાપ લેવો જોઈએ. એમ કરતાં કરતાં દોષ ઓછો થાય. તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે. થઈ જાય છે એ હજુ પ્રકૃતિદોષ છે. આ પ્રકૃતિદોષ એ તમારો પૂર્વભવનો દોષ છે, આજનો આ દોષ નથી. આજે તમારે સુધરવું છે, પણ આ થઈ જાય છે એ તમારો પહેલાનો દોષ છે. એ તમને પજવ્યા વગર રહેશે નહીં. માટે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર કર કરવું પડે. મુમુક્ષુ : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ? દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, તેં મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્મ હતું, તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે. મુમુક્ષુ : મને આ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન લખી આપોને, જ્ઞાનીપુરુષનું કન્ફર્મેશન કરાવી આપો કે, આ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હું કરતો થઉં. (પા.૧૨)દાદાશ્રી : હા, એ તો કરવું જ પડે ને ! એ તમને અહીં શીખવાડશે. ઓહો, એનાંય પ્રતિક્રમણપ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના જ પ્રતિક્રમણ ? દાદાશ્રી : બસ. બીજાના દોષ એકલા નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધા ઉપર પ્રતિક્રમણ કરવાનાં. પ્રશ્નકર્તા : ખોટું કરનારો જુદો છે પછી કેમ પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : જુદો છે એમ નહીં, પોતે નથી કરતો. ખોટું કરનાર પાસે પ્રતિક્રમણ કરાવડાવે છે, પ્રતિક્રમણ શુદ્ધાત્મા પોતે નથી કરતો. (પા.૧૩)[2] પ્રત્યેક ધર્મે પ્રરૂપ્યું પ્રતિક્રમણસર્વોત્તમ વ્યવહાર ધર્મજૈન ધર્મનું ઊંચામાં ઊંચું ગૂઢ તત્ત્વ હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન, એ મોટામાં મોટું છે. જો કે બીજા લોકોના ધર્મમાં છે, પણ તે કેવું ? બાધે ભારે ક્ષમા માંગવામાં આવે છે. એવું દરેક ધર્મમાં છે, પણ તે કેવું ? મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયન ધર્મમાં છે, ક્ષમા માંગવાનો રીવાજ તો બધેથી ચાલ્યો આવ્યો છે, પણ જે વીતરાગોએ બતાવ્યો છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એટલે ગુરુની હાજરી થકી આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બહુ સાયંટિફિક-વૈજ્ઞાનિક વસ્તુ છે. તરત ફળ આપનારી છે. પેલામાં ક્ષમા માગવાથી તો પાપ ઓછાં થાય એટલું જ અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય. ભગવાને કહ્યું છે કે, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહારધર્મ જ બીજો નથી. પણ તે કૅશ હોય તે, ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ હમણે થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે ? અને પછી આલોચના કરી, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કેશ કર. એને ભગવાને વ્યવહાર-નિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને ? સમકિત થયા પછી, ત્યાં સુધી કરવું હોય તોયે ના થાય. તે સમકિત થતુંયે નથી ને ! છતાંય કોઈ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય તોયે કામ કાઢી નાંખે. ભલે નોંધારું શીખી જાય તોયે વાંધો નથી. એને સમકિત સામું આવીને ઊભું રહેશે !!! (પા.૧૪)જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. મુમુક્ષુ : કંઈ પણ પોતાનાથી પાપ થઈ જાય, ત્યાર પછી એને પ્રાયશ્ચિત્ત માટે વ્રત કે એવું કંઈક કરે, ત્યાર પછી આત્માનું શુદ્ધિકરણ થઈ જાય, તો એવો ઉપાય આપો. દાદાશ્રી : એ બધું અમે અહીં જોડે જોડે આપીએ છીએ. બધી દવા આપું છું. તમામ પ્રકારની દવા, એનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન બધા જ પ્રકારનું ! પ્રતિક્રમણ એટલે પાપથી પાછા વળવુંદાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું એ તમે જાણો છો ? મુમુક્ષુ : ના. દાદાશ્રી : તમે જેવું જાણતા હો તેવું કહો. મુમુક્ષુ : પાપથી પાછા વળવું. દાદાશ્રી : પાપથી પાછા વળવું ! કેવો સરસ ભગવાને ન્યાય કર્યો છે કે ભઈ, પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ ! પણ હજુ પાપ તો ઊભાં જ રહ્યાં છે. તેનું શું કારણ ? મુમુક્ષુ : એ તો તમે જ સમજાવો. એક તો આલોચના, બીજું પ્રતિક્રમણ અને ત્રીજું છે પ્રત્યાખ્યાન, આ ત્રણ શબ્દો કમ્પ્લીટ હજી મને ક્લિયર નથી થતા. દાદાશ્રી : પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું એ એનો ભાવાર્થ છે. વસ્તુને છોડી દેવી હોય તો પ્રત્યાખ્યાન કરું છું. મુમુક્ષુ : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ અને કહે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ? (પા.૧૫)દાદાશ્રી : હા, પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય. તો ‘ફરી હવે નહીં કરું’ એનું નામ પ્રત્યાખ્યાન. ફરી નહીં કરું, એનું પ્રોમિસ આપું છું, એવું મનમાં નક્કી કરવાનું અને પછી ફરીવાર એવું થાય તો એક પડ તો ગયું, તે પછી બીજું પડ આવે, તો એમાં ગભરાવાનું નહીં, વારેઘડીએ આ કર્યા જ કરવાનું. મુમુક્ષુ : મનમાં માફી જ માંગી લેવાની. દાદાશ્રી : હા, માફી માંગી લેવાની. આલોચનામુમુક્ષુ : આલોચના એટલે શું ? દાદાશ્રી : હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય, તો જે આપણા ગુરુ હોય અગર તો જ્ઞાની હોય તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો. કોર્ટમાં શું કહે છે ? મુમુક્ષુ : કન્ફેશન કરવું (કબૂલાત કરવી). દાદાશ્રી : હા, તે ગુરુ પાસે કે જ્ઞાની પાસે, આપણે જે થયું હોય એવું કહી દેવું, બીક રાખ્યા વગર. ગુરુ મહારાજ શું કહેશે એવો ભય નહીં રાખવાનો. ભય એટલે મારેય ખરા. પણ આપણે નિર્ભય થઈને કહી દેવું જોઈએ કે આમ થઈ ગયું છે. પછી એ ગુરુમહારાજ કહેશે કે પ્રતિક્રમણ કરજો. એટલે આપણને એ શીખવાડે કે આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું ? ત્યારે કહે, ‘જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી, જે લોકમાં નીંદ્ય થાય એવાં કર્મ, સામાને દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. તે થયું હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર. મુમુક્ષુ : આલોચના-પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ ફરી ના થાય એના માટે જાગૃત તો રહેવું જોઈએને ? (પા.૧૬)દાદાશ્રી : એ દોષ થાય જ નહીં ફરી. સાચું પ્રતિક્રમણ એનું નામ કહેવાય કે દોષ ફરી થાય જ નહીં. અગર તો દોષ ધીમે ધીમે ખલાસ થઈ જાય. તમે જે કહો છો કે પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ થાય છે. તો તે આ તો બજારોમાં જે ચાલે છે. વ્યવહારમાં અત્યારે જે ચાલે છે એ પ્રતિક્રમણ લૌકિક છે, લૌકિક એટલે સંસાર ફળ આપનારું. એટલો ટાઈમ ખાલી આપણો અધર્મમાં ના ગયો અને પુણ્ય બંધાયું. અને પ્રતિક્રમણ તો કોનું નામ કહેવાય ? ‘શૂટ ઑન સાઈટ’ જોઈએ. આપણે ત્યાં અહીં કાયદો છેને ‘શૂટ ઑન સાઈટ’નો ? એવું પ્રતિક્રમણ હોવું જોઈએ. ગુરુમહારાજે કહ્યું હતું કે પ્રતિક્રમણ કરો, પછી પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન તો કરવું જ જોઈએ. ‘આ ફરી હવે નહીં કરું’ એમ ગુરુમહારાજની મૂર્તિને સંભારીને પ્રત્યાખ્યાન કરવું જ જોઈએ. જે દોષ થઈ ગયો તેનું પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરું એટલે આ ત્રણેય સાથે હોવું જોઈએ. મુમુક્ષુ : અને જાગૃત રહેવું જોઈએ, ફરી ના થાય એવું ? દાદાશ્રી : નિરંતર જાગૃત, જાગૃત એટલે અડધો કલાક નહીં, ચોવીસેય કલાક, નિરંતર આ લોકો અમે જ્ઞાન આપ્યું ત્યારથી નિરંતર જાગૃત રહે છે. એક ક્ષણવાર એ ઊંઘ્યા નથી. સંસારના લોકમાંથી કોઈ જાગૃત હોય તે પ્રતિક્રમણ કરે તો એટલા દોષ ઓછા થાય ને પાછા નવા શુભ બંધાય. દર્શન મોહનીય હોય ત્યાં સુધી દોષ બંધાયા જ કરે. આલોચના હંમેશાં પ્રતિક્રમણ સહિત જ હોય. અને પ્રતિક્રમણ એ તો મોટામાં મોટું હથિયાર છે. એટલે પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તોય ચાલશે. એટલે દાદા પાસે આટલું શીખ્યા તો બહુ થઈ ગયું. આમાં બધું આવી ગયું. જ્યાં કંઈ (પા.૧૭)ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી. એટલા ગુનામાંથી મુક્ત થઈ ગયા. આ કંઈ છે અઘરું ? દાદા, કંઈ અપવાસ કરવાનું કહે છે કે કેમ ભૂલ કરી ? માટે અપવાસ કરજો એવું કહે તો તો લોક જાણે કે દાદાએ અમને ભૂખે મારી નાખ્યા, પણ દાદા એવું ભૂખે નથી મારતા ને ? કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ? કર્તાભાવ ત્યાં સુધી અતિક્રમણકર્મ બાંધે છે કોણ ? તેને આપણે જાણવું પડે, તમારું નામ શું ? મુમુક્ષુ : ચંદુલાલ. દાદાશ્રી : તો ‘હું ચંદુલાલ છું’ એ જ કર્મનો બાંધનાર. પછી રાતે ઊંઘી જાય, તોયે આખી રાત કર્મ બંધાય છે. ‘હું ચંદુલાલ છું’ તે ઊંઘતાંય કર્મ બંધાય છે, એનું શું કારણ ? કારણ કે, એ આરોપિત ભાવ છે. એટલે ગુનો લાગુ થયો. ‘પોતે’ ખરેખર ચંદુલાલ નથી અને જ્યાં તમે નહીં ત્યાં ‘હું છું’ એવો આરોપ કરો છો. કલ્પિતભાવ છે એ, અને નિરંતર એનો ગુનો લાગુ થાય. પછી હું ચંદુલાલ આમનો સસરો થાઉં, આમનો મામો થાઉં, આમનો કાકો થાઉં, આ બધા આરોપિત ભાવો છે, એનાથી નિરંતર કર્મ બંધાયા કરે છે. રાતે ઊંઘમાંય કર્મ બંધાયા કરે છે. રાતે કર્મ બંધાય, તેમાં તો હવે છૂટકો જ નથી પણ ‘હું ચંદુલાલ છું’ એ અહંકારને જો તમે નિર્મળ કરી નાખો, તો તમને કર્મ ઓછાં બંધાય. અહંકાર નિર્મળ કર્યા પછી પાછી ક્રિયાઓ કરવી પડે. કેવી ક્રિયાઓ કરવી પડે કે સવારે તમારે છોકરાની વહુ જોડે, એનાથી કપરકાબી તૂટી ગઈ, એટલે તમે કહ્યું કે, ‘તારામાં અક્કલ નથી.’ એટલે એને જે દુઃખ થયું, તે વખતે આપણને મનમાં એમ થવું જોઈએ કે (પા.૧૮)આ મેં એને દુઃખ દીધું. ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય. એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તોયે એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે બાર મહિને કરીએ છીએ એવું નહીં, ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ. તો કંઈક આ દુઃખો જાય. વીતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય. નહીં તો દુઃખ જાય નહીં. આમ થાય પ્રતિક્રમણએની મેળે આવડે એનું નામ અતિક્રમણ. અને પ્રતિક્રમણ શીખવું પડે. અતિક્રમણ તો એની મેળે આવડે. કોઈકને ગોદો મારવો હોય તો શીખવા ના જવું પડે, એ તો કોઈકનું જોઈને શીખેલો જ હોય. હવે અતિક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કરવું પડે. આમ આ વ્યવહારમાં બધા બેઠાં છે, એમાં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ તો કોઈકને ગોદો માર્યો હોય કે કોઈની મશ્કરી કરી હોય, એ અતિક્રમણ કર્યુ, તો એનું પ્રતિક્રમણ કરવું પડે. મુમુક્ષુ : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ? દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ ! ખોટું થયું હોય તો તરત ખબર પડી જાય ને ? મુમુક્ષુ : હા. દાદાશ્રી : એનું પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું. મુમુક્ષુ : ધોવાઈ જાય ખરું એ ? (પા.૧૯)દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી ! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે. મુમુક્ષુ : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાને દેખતાં કરું કે મનમાં કરું ? દાદાશ્રી : મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભુલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે, આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. અતિક્રમણ થયું એ દોષ થયો. એ તમને ખબર પડી એટલે દોષ ‘શૂટ અૅટ સાઈટ’ કરવો જોઈએ તમારે. દોષ દેખાયો કે શૂટ કરો. આ એક જ માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતા જાય. પસ્તાવો બનાવટી ન હોય કદીમુમુક્ષુ : આવાં તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ? પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય તો તરત પસ્તાવો કરું છું. દાદાશ્રી : પસ્તાવો એ વેદના થાય છે તે છે. પસ્તાવો એ પ્રતિક્રમણ ના કહેવાય. છતાં એ સારું છે. મુમુક્ષુ : પાપ કર્યા પછી આપણે પસ્તાવો લઈએ તો એ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે ? એવું તો પછી કર્યા જ કરે ? દાદાશ્રી : એ બધો રસ્તો હું કરી આપીશ. મુમુક્ષુ : એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા (પા.૨૦)કરે. આવું તો ચાલ્યા જ કરે. દાદાશ્રી : એવું નથી કરવાનું. જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. અને સાચો જ પસ્તાવો હોય અને પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખી ને આખી દેખાય પાછી. ફરી પાછું બીજું પડ ખસે. હંમેશાં પસ્તાવો નકામો જતો નથી. દરેક ધર્મે પસ્તાવો જ આપ્યો છે. ક્રિશ્ચિયનને ત્યાંય પસ્તાવો જ કરવાનો કહ્યો છે. સો ટકા સાચો રસ્તોમુમુક્ષુ : એટલે માફી માંગવાથી આપણા પાપનું નિવારણ થઈ જાય ખરું ? દાદાશ્રી : એનાથી જ પાપનું નિવારણ થઈ જાય. બીજો કોઈ રસ્તો જ નથી. મુમુક્ષુ : તો પછી ઘડીએ ઘડીએ માફી માંગે ને ઘડીએ ઘડીએ પાપ કરે ? દાદાશ્રી : ઘડીએ ઘડીએ માફી માંગવાની છૂટ છે. ઘડીએ ઘડીએ માફી માંગવી પડે. હા ! સો ટકાનો રસ્તો આ ! માફી માંગવા સિવાય બીજા કોઈ રસ્તે છૂટે જ નહીં આ જગતમાં. પ્રતિક્રમણથી બધાં પાપો ધોવાઈ જાય. મુમુક્ષુ : પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે, તેની પાછળ સાયન્સ શું છે ? દાદાશ્રી : અતિક્રમણથી પાપ થાય છે ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે. મુમુક્ષુ : તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે ? આપણે માફી માંગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને ? (પા.૨૧)દાદાશ્રી : આ જ કર્મનો નિયમ ! માફી માંગવી એ જ કર્મનો નિયમ ! મુમુક્ષુ : તો તો બધા પાપ કરતા જાય ને માફી માંગતા જાય. દાદાશ્રી : હા, પાપ કરતા જવાનું ને માફી માંગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે. મુમુક્ષુ : પણ ખરા મનથી માફી માંગવાનીને ! દાદાશ્રી : માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે. અને ખોટા મનથી માફી માંગે તોય ચલાવી લેવાશે, તોય માફી માંગજો. મુમુક્ષુ : તો તો પછી એને ટેવ પડી જાય ! દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો ! માફીનો શો અર્થ છે ? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય ? અતિક્રમણ. કર્મનો નિયમ શું છે ? અતિક્રમણ કરે તો એનું પ્રતિક્રમણ કરો. સમજાયું તમને ? મુમુક્ષુ : હા. દાદાશ્રી : એટલે માફી અવશ્ય માંગો. ને આ ડાહ્યા, દોઢ ડાહ્યાની વાત જવા દો. કોઈ ખોટું કરતો હોય ને માફી માંગતો હોય તો કરવા દોને ! ‘ધીસ ઈઝ કમ્પ્લીટ લૉ.’ કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહું કે, માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે કે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન છે ! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ (પા.૨૨)આપનારું છે. ‘ધીસ ઈઝ ધ કૅશ બેન્ક ઑફ ડિવાઈન સૉલ્યુશન’, ‘કૅશ બેન્ક’ આ જ ! દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માંગું એ આપવા તૈયાર છું, માંગતો ભૂલે. આવ્યા અમે સુખ આપવા જઅતિક્રમણ એટલે કોઈને સહેજ પણ દુઃખ થાય, આમ ના થતું હોય વખતે, પણ ગર્ભિત દુઃખ રહેતું હોય. ગર્ભિત એટલે અંદરખાને દુઃખ હોય, સામાને ના સમજણ પડે, ના પહોંચે પણ એનો અર્થ એવો ન થવો જોઈએ. ગર્ભિત એય દુઃખ ન હોવું જોઈએ. અમારી લાઈફમાં કોઈને પણ કિંચિત્માત્ર દુઃખ નહીં આપેલું. પણ ગર્ભિત દુઃખ થયેલું હોય તેની સામે માફી માંગી લઈએ. અમે દુઃખ આપવા નથી આવ્યા. અમે સુખ આપવા આવ્યા છીએ. કયું ફરજિયાત, કયું મરજિયાત ?દાદાશ્રી : આ અમે અહીં આવ્યા તે ફરજિયાત કે મરજિયાત ? મુમુક્ષુ : મરજિયાત. દાદાશ્રી : ના. આ તો લમણે લખેલું ફરજિયાત હતું અને મરજિયાત શું છે ? આ ભાઈએ ગોદો માર્યો તેય ફરજિયાત અને તેનું પ્રતિક્રમણ કરવું કે ના કરવું એ મરજિયાત છે. ૫૦૦૦ રૂપિયા આપ્યા તે મેયરના દબાણથી આપ્યા. તેનો ‘અહીં’ જશ મળે પણ ‘ત્યાં’ કશું નહીં. અને મરજીથી આપે તો તેનું ત્યાં ફળ મળે, એ મરજિયાત. મરજિયાત શું છે ? આ બધું ફરજિયાત જ છે. બહાર ક્રિયા કરી એ ફરજિયાત છે. મહીં કયા ભાવે ક્રિયા કરી તે મરજિયાત છે. બહાર કોઈએ બે ધોલ મારી તે ફરજિયાત ને મહીં પસ્તાવો કર્યો તો તે મરજિયાત સુધર્યું ને મહીં ભાવ બગાડ્યો, તે મરજિયાત બગડ્યું. (પા.૨૩)કોઈ દોષ થયો હોય તો તેનો ખૂબ પસ્તાવો કરે, ખૂબ પસ્તાવો કરે, તો તે દોષ જાય. પણ એને છોડાવનાર જોઈએ. ભાવસત્તા, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનીહવે કોઈના ખેતરમાંથી ગલકું લઈ લેવાની ઇચ્છા ના કરશો. જોઈએ તો માગીને લેવું. અમેય નાના હતા બાર-તેર વર્ષના, ત્યારે લોકોનાં ખેતરોમાંથી વરિયાળી ચોરી લાવતા. તે પાછળથી કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું. ‘પ્રતિક્રમણ’ ને ‘પ્રત્યાખ્યાન’ કરવાની જ ભાવસત્તા છે, ક્રમિક માર્ગમાં ! દ્રવ્ય કોઈના તાબામાં નથી. ભાવ જ આપણા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો. અમારું દ્રવ્ય સારું હોય ને ભાવેય સારા હોય. તમારું સ્વચ્છંદપૂર્વકનું દ્રવ્ય હોય એટલે પસ્તાવા કરવા પડે. ભગવાન આવામાં તે હાથ ઘાલતા હશે ? એ તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી. બધું જ જુએ અને જાણે. ત્યારે એ શું પ્રેરણા કરતા હશે ? મૂઆ, એ તો મહીંથી ચોરી કરવાની ગાંઠ ફૂટે છે ત્યારે તને ચોરી કરવાનો વિચાર આવે છે. મોટી ગાંઠ હોય તો બહુ વિચાર આવે અને ચોરી કરી પણ આવે. અને પાછો કહે છે કે મેં કેવી ચાલાકીથી ચોરી કરી ! એવું કહે, એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય. પોષણ મળે એટલે નવાં બીજ પડ્યા કરે ને ચોરીની ગાંઠ મોટી ને મોટી થતી રહે. જ્યારે બીજો ચોર હોય તે ચોરી કરે ખરો પણ સાથે સાથે એને મહીં ડંખ્યા કરે કે આ ચોરી થાય તે બહુ ખોટું થાય છે, પણ શું કરું ? પેટ ભરવા કરવું પડે છે. તે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરતો રહે એટલે ચોરીની ગાંઠને પોષણ ના મળે. અને આવતા ભવ માટે ચોરી ના કરવી એવાં બીજ નાખે છે, તે બીજે ભવ ચોરી ના કરે. હાર્ટિલી પસ્તાવોએક માણસને ચોરી કર્યા પછી પસ્તાવો થાય છે, એને કુદરત (પા.૨૪)જતો કરે છે. પશ્ચાત્તાપ કર્યો. એનો ભગવાનને ત્યાં એ ગુનો નથી. પણ જગતના લોકો દંડ કરે એ આ ભવમાં ભોગવી લેવો પડે. પ્રશ્નકર્તા : પણ એ તો બધાય એવું માને છે કે ખોટું બોલવું એ પાપ છે, માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે. તેમ છતાં લોકો ખોટું કર્યે જ જાય છે, તે કેમ ? દાદાશ્રી : આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધા બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફ્લુઅસ’ બોલે છે. ‘હાર્ટિલી’ નથી બોલતા. બાકી જો એવું ‘હાર્ટિલી’ બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી’ પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. પ્રશ્નકર્તા : એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી ? દાદાશ્રી : હા, બહુ જ શક્યતા છે પણ સુધારનાર હોવો જોઈએ. એમાં એમ.ડી., એફ.આર.સી.એસ. ડૉક્ટર ના ચાલે. ગોટાળિયું ના ચાલે, એના તો ‘સુધારનાર’ જોઈએ. હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો છતાંય ફરી એવો દોષ થાય, તો એને એમ થાય કે, આ આમ કેમ થયું ? એટલો બધો પસ્તાવો થયો તોય ? ખરેખર તો ‘હાર્ટિલી’ પસ્તાવો થાય, તેનાથી દોષ અવશ્ય જાય છે. પ્રતિક્રમણથી હળવાશ થાય. ફરી એ દોષ થતાં એને પસ્તાવો થયા કરે. સંસ્કાર ક્યારે બદલાય ? રાત-દિવસ પશ્ચાત્તાપ કરે ત્યારે. અગર તો આપણું જ્ઞાન મળે તો સંસ્કાર બદલાય. પસ્તાવો એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. પશ્ચાત્તાપ થવો જોઈએ. પ્રશ્નકર્તા : આખો દિવસ આડું અવળું આમ તેમ કરીએ ને પછી રાત્રે પશ્ચાત્તાપ કરીએ તો ? (પા.૨૫)દાદાશ્રી : હા, પશ્ચાત્તાપ સાચા દિલના કરે તો. પ્રશ્નકર્તા : પશ્ચાત્તાપ કરે ને બીજે દિવસે પાછો તેનું તે જ કરે તો ? દાદાશ્રી : હા, પણ સાચા દિલથી કરે તો કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : આ પસ્તાવો થાય છે, તે ગયા જન્મના આયોજનને કારણે થાય છે ? દાદાશ્રી : એ આ જન્મના જ્ઞાનને કારણે પસ્તાવો થાય. પ્રશ્નકર્તા : જીવનમાં આપણે કંઈક ખોટાં કામો કર્યાં હોય, તો એનું દુઃખ થાય, પણ પશ્ચાત્તાપ ના થાય, તો શું કરવું ? દાદાશ્રી : એનું દુઃખ થાય છે એ જ પશ્ચાત્તાપ છેને ! કોઈ પણ તાપ વગર દુઃખ થાય નહીં. ઠંડકમાં દુઃખ હોતું હશે ? આ તાપ એ જ દુઃખ છે. દુઃખ થાય એટલે બહુ થઈ ગયું. પણ ફરી નહીં કરું એવું બોલો છો કે નથી બોલતા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તમને બધાને શેમાં શેમાં પસ્તાવો થાય છે તે લખી લાવજો. કયે સ્ટેશને ગાડી અટકે છે તેની ખબર પડે. એટલે પછી ત્યાં આગળ આપણે ગાડી મોકલીએ. પસ્તાવો થાય, ત્યાંથી સમજવું કે પાછો વળવાનો થયો. કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે. પસ્તાવાથી માંડીને પ્રતિક્રમણ સુધીજગતના લોકો માફી માંગી લે છે, એથી કંઈ ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં ‘સોરી’, ‘થેન્ક યુ’ કહે એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન’નું છે. (પા.૨૬)સંસારમાં અને મોક્ષમાર્ગમાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનની જરૂર છે. પ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાયને ? દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોતને તો કોઈ માંદા-સાજા હોય જ નહીંને ! પછી તો કશું દુઃખ હોય જ નહીંને ! પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માંગવાનો અર્થ શું કે તમે માફી માંગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડેને ! પ્રશ્નકર્તા : કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફૂટી નીકળે. દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યા કરે. બાકી મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવાં પડે ! કૃષ્ણ ભગવાનનેય અહીં તીર વાગ્યું હતું, એમાં ચાલે નહીં. મારે હઉ ભોગવવું પડે. દરેકના ધર્મમાં માફીનું હોય છે, ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ, બધામાં હોય, પણ જુદી જુદી રીતે હોય. દરેક ધર્મમાં પસ્તાવાથી શરૂઆત છે, ક્રિશ્ચિયન, મુસ્લિમ, બધામાં ! ને આપણે અહીં પ્રતિક્રમણ હોય. બાકી આ બધું જગત વિકલ્પ છે. મુસલમાનોય કાનમાં આંગળી ઘાલીને બૂમાબૂમ કરી મેલે છે, તેય ખરું છે અને ક્રિશ્ચિયનો શું કરે ? ચર્ચમાં ગયેલા કે નહીં ? કેમ વાંધો શો હતો તે ? તમે કાળો કોટ પહેરીને મહીં પેઠા કે કોઈ પૂછનાર જ નહીંને ! એ લોકો રવિવારનો દહાડો આવે ને, તે છ દહાડાની જે ભૂલો થઈ હોયને, તે રવિવારે માફી માંગ માંગ કરે, પશ્ચાત્તાપ કર્યા કરે. પશ્ચાત્તાપ તો આપણા લોકો જ કરતા નથી. આપણા લોકો કરે છે, તે બાર મહિનામાં એક ફેરો કરે છે. તે દહાડે તો લૂગડાં નવાં લઈ (પા.૨૭)આવીને, ફર્સ્ટ ક્લાસ લાવીને પહેરેને ! પ્રશ્નકર્તા : માનસિક પસ્તાવો કરવો એ જ પ્રતિક્રમણ ? દાદાશ્રી : જે રીતે કહ્યુંને એ રીતે કરો. એને ધોલ મારવાથી દુઃખ થયું તો, ‘હવે ફરી નહીં ધોલ મારું, મારી ભૂલ થઈ’ એવી રીતે કરો. એવો પસ્તાવો કરો. અગર તો ટૈડકાવ્યો, મેં એને દુઃખ દીધું, તો ‘ફરી નહીં ટૈડકાવું’ એવી રીતે કરો. એ થયું ધર્મધ્યાનમુમુક્ષુ : અને આ પ્રતિક્રમણ, પાપનું પ્રાયશ્ચિત્ત, એ જરા સમજાવો. દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું ? દોષ થયો કે દોષને તરત શૂટ ઑન સાઈટ કરી નાખો. એનું નામ પ્રતિક્રમણ. તમે તો બાર મહિને કરો છોને ? મુમુક્ષુ : મને પ્રતિક્રમણ કરતાં ખાસ આવડતું નથી પણ ભાવ પ્રતિક્રમણ કરી લઉં. દાદાશ્રી : ભાવ પ્રતિક્રમણમાં શું કરો છો ? મુમુક્ષુ : એમ લાગે કે આ દોષ થયો છે, તો પછી આત્માની સાક્ષીએ પ્રાયશ્ચિત્ત કરી લેવાનું. દાદાશ્રી : એમ ? એવું કેટલાં થાય દહાડામાં ? મુમુક્ષુ : રાત્રે સૂતી વખતે કરું, ચાર-પાંચ થાય. દાદાશ્રી : એટલું તમારું ધર્મધ્યાનમાં જાય. ફક્ત એટલી સેકંડ તમારી ધર્મધ્યાનમાં જાય. જો તમે કહ્યા પ્રમાણે કરતા હોય તો ધર્મધ્યાનમાં જાય. મુમુક્ષુ : પાપનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવાનું ? હું જે રીતે કરું છું તે બરોબર છે ? (પા.૨૮)દાદાશ્રી : એ ગમે તે રીતે હો પણ કાચું છે. પણ તોય એનાથી ધર્મધ્યાન થોડું થાય. તમારી દાનત શું છે એ જોવામાં આવે છે. મુમુક્ષુ : પણ કરવું જોઈએ કે નહીં ? દાદાશ્રી : અત્યારે તમે કરો છો એ બરાબર છે, પણ અમે શીખવાડ્યા પછી નવું શીખવાડે તે નવું શીખજો. અત્યારે તમારું બરોબર છે. મુમુક્ષુ : કવિ કલાપીએ કહ્યું છે : હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એના માટે આપ શું કહેવા માંગો છો ? દાદાશ્રી : એ તો આ સ્થૂળ પાપીઓ માટે છે. એ બધાં સ્થૂળ પાપ થયાં એટલે એનો પસ્તાવો કરે. મુમુક્ષુ : એમાં આત્માનું લક્ષ ખરું ? દાદાશ્રી : ના, એમાં આત્માનું લક્ષ ના હોય. આમાં વ્યાવહારિક લક્ષ, સરળ હોયને તેને ના ગમે આ બધું એટલે પસ્તાવો કરે. દરેક ધર્મવાળા પસ્તાવો કરવાના. એવું તમેય પસ્તાવો કરો છો. મુમુક્ષુ : વ્યવહારશુદ્ધિ થાયને ? દાદાશ્રી : ના, ખરેખર તો પ્રતિક્રમણ હોવું જોઈએ. નવ કલમોથી સર્વશ્રેષ્ઠ પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય ખરો ? દાદાશ્રી : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ બધાં પાપ એ શું છે ? આ પાપ જે છેને, એ શેને પાપ (પા.૨૯)કહીએ છીએ આપણે ? ત્યારે કહે કે, જો તમે આ બધું કરો છો. તે કરવાને માટે વાંધો નથી. આ બધા બેઠા છે. અત્યારે કોઈ જણને વાંધો નથી. એમાં કોઈ એક જણ કહે કે, ‘કેમ તમે આ મોડા આવો છો ?’ આપણને એવું કહે, ત્યારે એમણે અતિક્રમણ કર્યું કહેવાય. જે લોકોને ગમે નહીં કે, આવું ક્યાં બોલે છે ? એ અતિક્રમણ કર્યું કહેવાય. એ અતિક્રમણ કરે તેને માટે જ ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. એટલે પશ્ચાત્તાપ કેટલાનો કરવાનો છે કે જે લોકોને ન ગમે, લોકોને દુઃખ થાય, એવી વાત માટે પશ્ચાત્તાપ કરજે. શું કહે છે ? ગમતું હોય તેને માટે નહીં. તે પ્રાયશ્ચિત્ત કરવું પડે. તું કરે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : દાદા ભગવાનના નામથી પ્રતિક્રમણ કરે છે કે નથી કરતો ? પ્રશ્નકર્તા : પેલી ચોપડી આપેલી ને ? એનું કરું છું, નવ કલમો કરું છું. દાદાશ્રી : કરું છું ને ? એ પ્રતિક્રમણ જ છે. મોટામાં મોટું પ્રતિક્રમણ દાદા ભગવાનની નવ કલમો મુકાઈ છે ને, એ આખા જગતને કલ્યાણકારી એવું પ્રતિક્રમણ છે. પ્રશ્નકર્તા : આ વાત સાચી કે પશ્ચાત્તાપના ઘડામાં ગમે તેવું પાપ હોય તો... દાદાશ્રી : હલકું થઈ જાય, પશ્ચાત્તાપને લઈને. પ્રશ્નકર્તા : સાવ બળીને ખાખ ના થઈ જાય ? દાદાશ્રી : સાવ બળીયે જાય. એવાં કેટલાંક પાપ તો બળીયે જાય, ખલાસ થઈ જાય. પશ્ચાત્તાપનો સાબુ એવો છે કે ઘણાંખરાં કપડાંને લાગુ થઈ જાય. (પા.૩૦)પ્રશ્નકર્તા : અને એમાં આપની સામે કરે એટલે પછી શું રહે ? દાદાશ્રી : કલ્યાણ થઈ જાય. એટલે પશ્ચાત્તાપના સાબુ જેવો કોઈ દુનિયામાં સાબુ નથી. પસ્તાવાથી ઘટે દંડપ્રશ્નકર્તા : પાપને નિર્મૂળ કરવા માટે તો ઉત્તમ માર્ગ પ્રાયશ્ચિત્ત છે. આ બહુ સુંદર વાત છે તેમ પુરાણમાં સંતપુરુષોએ કહ્યું છે. શું ખૂની માણસ ખૂન કર્યા બદલ પસ્તાવો કરે તો તેને માફી મળી શકે ? દાદાશ્રી : ખૂની માણસ ખૂન કર્યા પછી ખુશી થાય તો એનો જે દંડ બાર મહિનાનો થવાનો હોય, તો તે ત્રણ વર્ષનો થઈ જાય. એ ખૂની માણસ ખૂન કર્યા પછી પસ્તાવો કરે તો બાર મહિનાનો જે દંડ થવાનો હોય તે છ મહિનાનો થઈ જાય. કોઈ પણ ખોટું કાર્ય કરીને પછી ખુર્શી થશો તો તે કાર્ય ત્રણગણું ફળ આપશે. કાર્ય કર્યા પછી પસ્તાવો કરશે કે ખોટું કાર્ય કર્યું, તો દંડ ઘટી જાય. અને સારું કાર્ય કર્યા પછી ખુર્શી થશો તો બધાને વધુ લાભ થશે. મંત્રો એ છે વૈજ્ઞાનિક વસ્તુપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કદાચ નવાં પાપ બંધાય નહીં, પણ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ? દાદાશ્રી : પ્રતિક્રમણથી નવાં પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે. અને જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો તોય ભોગવટાનું ફળ હલકું કરી આપે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય, વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રોનું છેને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા (પા.૩૧)હતા ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતા ? તે જરા વધારે બોલેને એટલે બધું હલકું થઈ જાય અને તમને ભય લાગતો હોય તેય બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો માણસ કોઈ પાપ કરે કે ભૂલ કરે, તો એની એને સજા મળવી જોઈએ, તો મંત્રથી એ પાપનો નાશ કેવી રીતે થાય ? દાદાશ્રી : મંત્રો શું છે કે આ પુરુષોની આપણે ભક્તિ કરીએ છીએ. ક્યા પુરુષોની ? વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ પુરુષોની ભક્તિ કરીએ છીએ, તે ઘડીએ મહીં કેટલી શક્તિ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : તમે એમની બહુ ભક્તિ કરી, એમનાં વખાણ કર્યાં, એમનાં વાઈબ્રેશન લીધાં, પણ પાપ તો બાજુએ જ રહ્યાં ને ? પાપ તો જુદું રહ્યું જ ને ? દાદાશ્રી : આ એમની ભક્તિ કરવાથી, એમની કીર્તન ભક્તિ કરવાથી સર્વ પાપો ભસ્મીભૂત થાય. તમારે પાપો નાશ કરવાં છે ? હું એક કલાકમાં કરી આપીશ, ‘વિધિન વન અવર’. પાપ ચપ્પાથી કાપવાનું ના હોય. એની સ્લાઈસ પાડવાની ના હોય, એ તો ભસ્મીભૂત થાય. પ્રશ્નકર્તા : પાદરીઓ પણ કહે છે કે અમારી પાસે કન્ફેશન કરી જાવ તો બધાં પાપો નાશ થઈ જાય. દાદાશ્રી : એ કન્ફેસ કરવું સહેલું છે ? તમારાથી કન્ફેસ થાય ખરું ? એ તો અંધારી રાતમાં, અંધારામાં કરે છે, પેલો માણસ અજવાળામાં મોઢું નથી દેખાડતો. રાતે અંધારું હશે તો કન્ફેશન કરીશ. અને મારી પાસે તો ચાળીસ હજાર માણસોએ એમનું બધું કન્ફેશન કરેલું છે, ઘણી છોકરીઓએ પણ ! એકેએક ચીજ કન્ફેસ કરે ! આમ લખી આપેલું છે. ઉઘાડા છોગે કન્ફેસ તો પછી પાપ નાશ થઈ જ જાયને ! કન્ફેસ કરવું સહેલું નથી. (પા.૩૨)પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણ કરે છે એ ને એ કન્ફેસ સરખું જ થયું ને પછી ? દાદાશ્રી : ના, એ સરખું ન હોય. પ્રતિક્રમણ તો અતિક્રમણ થાય અને પછી ધો-ધો કરવું અને પાછું ડાઘ પડે, પાછું ધોવું અને પાપ કન્ફેસ કરવાં, જાહેર કરવાં તો એ વસ્તુ જુદી છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપમાં ફેર શો ? દાદાશ્રી : પશ્ચાત્તાપ એ બાધે ભારે છે, ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાત્તાપ કરે છે. જે પાપ કર્યા તેનો બાધેભારે પશ્ચાત્તાપ કરે છે. અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે, ‘શૂટ ઑન સાઈટ’ - તેને ધોઈ નાખે. પ્રશ્નકર્તા : આત્માને નીંદવો કહે છે તે શું ? દાદાશ્રી : એટલે પોતાની ભૂલ એકસેપ્ટ કરવાની માફી માંગવાની, પસ્તાવો કરવો તે નીંદવો. હવે મૂળ આત્માને નીંદવાનો નથી, પ્રતિષ્ઠિત આત્માને નીંદવાનો છે. ચતુર્ગતિના દોષ આંકડા, પ્રતિક્રમણથી છૂટેપ્રતિક્રમણ વગર મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં પ્રતિક્રમણ નથી ત્યાં માર્ગ જ ખોટો છે. જૈનો જો સાચાં પ્રતિક્રમણ કરે તેનાથી કષાયની ગાંઠ વળી ગઈ હોય તેને ઢીલી કરે અને તે આવતા ભવે જલદી નીકળી જાય. અમે જૈન કોને કહીએ કે જે ક્રોધ-માન-માયા-લોભ થાય ને તેનું તરત પ્રતિક્રમણ કરી લે, એ ભગવાનની આજ્ઞા પાળે તેને. તીર્થંકરો આ મૂકતા ગયા છે. કારણ કે મનુષ્ય જાતિ દોષ કર્યા વગર રહે નહીં (આત્મજ્ઞાની સિવાય). દેવલોકો દોષ કરે, મનુષ્ય જાતિ દોષ કરે, ચતુર્ગતિ દોષ કરે. દોષિત થયા વગર રહે નહીં. એના દોષ ભાંગવા માટે ઉપાય શો ? ત્યારે કહે, ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન.’ જગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષને લઈને આ જગત ઊભું રહ્યું છે. રોજ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે એ સાધુ, ઉપાધ્યાય, (પા.૩૩)આચાર્ય કહેવાય. જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાને આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે. જ્ઞાનીપુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિદ્ધાંતનો સાર છે અને અક્રમમાં જ્ઞાનીપુરુષ એ સાર છે, એટલું જ સમજવું જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે. (પા.૩૪)[3] નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં !એ છે ધર્મનો સારસાચાં પ્રતિક્રમણ હોય તો તો આખો જૈન શાસ્ત્રોનો સાર જ આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે. મુમુક્ષુ : આ બહુ સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) વસ્તુ છે. દાદાશ્રી : હા, બહુ સાયન્ટિફિક વસ્તુ છે. અને પ્રતિક્રમણ તો બધા જ ધર્મોમાં છે. પણ સાયન્ટિફિક એ છે કે આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. આ સાયન્ટિફિક વસ્તુ છે, વૈજ્ઞાનિક ઢબ છે અને ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થઈ જાય. ક્રોધ-માન-માયા-લોભ પોતાના તાબામાં જ છે, પણ લોકોને ઓછાં કરવાં નથી. દરેક જગ્યાએ પસ્તાવાથી શરૂઆત છે. અંગ્રેજોની શરૂઆત પસ્તાવાથી થાય. તે મુસ્લિમોય પસ્તાવો કરવાના. લોકો શું કહે છે કે, આ જે જે અમે કર્યું, એ બધો પસ્તાવો કરીએ છીએ, પશ્ચાત્તાપ કરીએ છીએ અને આપણે અહીં પ્રતિક્રમણરૂપે આપ્યું કે આપણે શું કહીએ છીએ કે અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ એટલે વ્યવહારમાં જોઈએ તેનાં કરતાં વિશેષ થઈ ગયું માટે એનું પ્રતિક્રમણ કરો. મુમુક્ષુ : જે અમુક વખતે ડખોડખલ થઈ જાય છે કે સેન્સિટિવ (લાગણીશીલ) થઈ જાય છે, એને અટકાવવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : પ્રતિક્રમણ ને પસ્તાવો કરવાનો ને ભાવના ભાવવી (પા.૩૫)જોઈએ કે આમ ન થવું જોઈએ ને આમ થવું જોઈએ. આપણી પેલી ચોપડીઓની નવ કલમો જેને આવડી ગઈ, તેનું કલ્યાણ થઈ ગયું ! ‘એ’ તો ખપે રોકડું જનહીં તો પછી ભગવાને કહ્યું છે કે એ પ્રતિક્રમણ કર્યા કરવું. મુમુક્ષુ : અનાદિકાળથી પ્રતિક્રમણ તો કરતો આવ્યો છે છતાં છૂટકારો તો થયો નથી ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો સાચાં પ્રતિક્રમણ કર્યાં નથી. સાચાં પ્રત્યાખ્યાન ને સાચાં પ્રતિક્રમણ કરે તો એનો ઉકેલ આવે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. હવે મારાથી એક શબ્દ જરા વાંકો નીકળી ગયો, એટલે મારે અંદર પ્રતિક્રમણ થઈ જ જવું જોઈએ. તરત જ ઑન ધી મોમેન્ટ. આમાં ઉધાર ના ચાલે. આ તો વાસી રખાય જ નહીં. આ પ્રતિક્રમણ વાસી રખાય નહીં. એટલે ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ હોય. તમે કેવું પ્રતિક્રમણ કરો છો ? રોકડું, શૂટ ઑન સાઈટનું કે વાસી રાખો છો ? મુમુક્ષુ : રોકડું પ્રતિક્રમણ કયા સંજોગને માટે કેવી રીતે કરવું ? દાદાશ્રી : એકુય રોકડું પ્રતિક્રમણ કર્યું હતું ? મુમુક્ષુ : ના, નથી કર્યું, હજુ સુધી. હું પ્રતિક્રમણ વાંચું છું દરરોજ. પસ્તાવા વિનાનાં પ્રતિક્રમણનવકાર મંત્ર બોલો છો ? મુમુક્ષુ : હા. નવકાર બોલું, બધું આખું સમરણ ગણું, બધું જ કરું. દાદાશ્રી : તોય ચિંતા થાય છે ? (પા.૩૬)મુમુક્ષુ : રોજની ચાર-પાંચ સામાયિક કરું છું. દાદાશ્રી : ઓહોહો ! ચાર-પાંચ સામાયિક કરો છો ? મુમુક્ષુ : અને સવારનું ને સાંજનું પ્રતિક્રમણ બેઉ કરું છું. દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પસ્તાવો કરવાનો. તો પસ્તાવો શેનો કરો છો ? મુમુક્ષુ : પસ્તાવો નથી કરી શકતા. ક્રિયા કર્યા રાખીએ બધી. દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પાછા વળવું. પાપ જે કર્યાં હોય, ક્રોધ કર્યા હોય, તેની પર પસ્તાવો કરવો એનું નામ પ્રતિક્રમણ કહેવાય. મુમુક્ષુ : એ બધું અંદર લખ્યું હોય, સૂત્ર એ બધું અમે ગોખી લઈએ. દાદાશ્રી : એ તો ગોખીને શું કામ છે તે ? એ તો રેડિયો ગોખી લે છે ને ? આ રોજ રોજ રેડિયો આખો દહાડો બોલ-બોલ કર્યા કરે. ‘એને’ સાચા ના કહેવાયમુમુક્ષુ : આ બધી પ્રવૃત્તિઓ... દાદાશ્રી : પાછું કો’કની ઉપર શું કામ ડફણું મારો છો ? મૂળ ગુનેગારને મારતા નથી ને ત્રીજાને મારે. જે હાથમાં આવે એને મારે. મૂળ ગુનેગારને પકડોને ? મુમુક્ષુ : મૂળ ગુનેગાર બહાર તો નથી ને ? પોતે જ છે ને ? દાદાશ્રી : આ પ્રતિક્રમણ જ ન હોય. આ પ્રતિક્રમણને તો ક્રૂડ ફોર્મ (અણઘડ સ્વરૂપમાં) કહ્યાં છે અને પાછું બાર મહિને ભેગાં કરીને કહે કે અમે પ્રતિક્રમણ કર્યું એ તો વળી વધારે ક્રૂડ !!! પ્રતિક્રમણ કોનું નામ કહેવાય ? બાર મહિના જો પ્રતિક્રમણ કરે તો દોષ બધા ઘટી જાય. આ તો આખી જિંદગી કરતા કરતા આવ્યા. (પા.૩૭)સાધુ-સંન્યાસી એંસી વર્ષનાં, સાઠ વર્ષનાં, સિત્તેર વર્ષનાં થયાં, એક પણ દોષ ઘટ્યો નથી, વધ્યા છે. પોપટની પેઠે પ્રતિક્રમણપ્રશ્નકર્તા : સાંપ્રદાયિક પ્રતિક્રમણ, સામાયિક તથ્ય કેટલું ? દાદાશ્રી : કશુંયે નહીં. માગધી ભાષામાં પ્રતિક્રમણ કરીએ તો પેલું પોપટ રામ-રામ બોલે એના જેવું. પોપટ રામ-રામ બોલે તેથી એ મોક્ષે જવાનો છે ? તે માગધી ભાષામાં આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણી પોપટના જેવી દશા થઈ ! પ્રશ્નકર્તા : સાંપ્રદાયિકમાં તો કરવું પડે ને, દાદા ? દાદાશ્રી : ના, ના, એ ઊંધે રસ્તે ચાલે તો આપણે શું કરવા ઊંધે રસ્તે ચાલીએ ? આપણે કંઈ પોપટ છીએ ? આપણો મનુષ્યનો અવતાર કહેવાય. સમજ્યા વગર જે કંઈ પણ કરવામાં આવે તે પોપટ કહેવાય બધા. હું અહીં તમને શું કહું છું ? સમજીને ગાજો મારી જોડે. સમજવા માટનો અવતાર છે આ. મહારાજ માગધી ભાષામાં ગા-ગા કર્યા કરે. તેમાં મહારાજ ના સમજે, પેલાયે ના સમજે. બધાયે પોપટે પોપટ ! રામ રામ ! આયારામ ! ગયારામ !!! એ જે પ્રતિક્રમણ કરે છે, પણ એમનાં પ્રતિક્રમણ કેવાં હોય છે કે કરનારો જાણે નહીં, કરાવનારો જાણે નહીં, કે આ શું છે તે ! તમે કરેલાં કે ? કરેલાં ? તે સમજણ ના પડે, નહીં ? પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે જે કરવાથી દોષ ઘટે. જે કરવાથી દોષ વધ્યા કરે, એને પ્રતિક્રમણ કેમ કહેવાય ? એટલે આ ભગવાને આવું નહોતું કહ્યું. ભગવાન કહે છે, સમજાય એ ભાષામાં પ્રતિક્રમણ કરો. પોતપોતાની ભાષામાં પ્રતિક્રમણ કરી લેજો. નહીં તો લોકો પ્રતિક્રમણને પામશે નહીં. તે આ માગધી ભાષામાં રાખી મેલ્યું છે. હવે આ ગુજરાતી નથી સમજતા, એની પાસે માગધીનું પ્રતિક્રમણ કરવું, શું ફાયદો કરે ? અને સાધુ-આચાર્યો સમજતા નથી, કશા (પા.૩૮)એમનામાંય દોષ ઘટ્યા નથી. એટલે આમાં પરિસ્થિતિ આ થાય છે. માગધી ભાષામાં ભગવાને ફક્ત એક નવકારમંત્ર એકલો જ છે તે બોલવાનો કહ્યો હતો. ને તેય પાછો સમજીને બોલજો. કારણ કે ભગવાનના શબ્દો છે. એટલું ફક્ત ભલે એનો અર્થ સમજી લીધો. બાકી પ્રતિક્રમણમાં પહેલાં તો એનો અર્થ સમજવો જ પડે કે, આ હું પ્રતિક્રમણ કરું છું, કોનું ? મને ચંદુભાઈએ અપમાન કર્યું, અગર તો મેં કોઈનું અપમાન કર્યું, તેનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રતિક્રમણ એટલે કષાયને ખલાસ કરી નાખવાના. આ તો ધર્મ કે અધર્મ ?પ્રશ્નકર્તા : એ ક્રમિક માર્ગમાં અહંકારનું શુદ્ધિકરણ કેવી રીતે કરે ? દાદાશ્રી : એ તો સાબુથી મેલ કાઢે, એવી રીતે મેલથી મેલ કાઢે એમ. તે છે તે પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બેઉનો આશરો લેવો પડે. નિરંતર આખો દિવસ આશરો લેવો પડે. બેનો આશરો નિરંતર લે ત્યારે અહંકારનું શુદ્ધિકરણ થાય. ત્યાં સુધી શુદ્ધિકરણ થાય નહીં. તેથી તો ક્રોધ-માન-માયા-લોભ વધી ગયાં. વચલા બાવીસ તીર્થંકરોના શિષ્યો તો એવા વિચક્ષણ હતા, તે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતા. આ મહાવીર ભગવાનના જડ ને વાંકા શિષ્યો છે. તે બાર મહિનેય પ્રતિક્રમણ પાંસરું ના કરે. બાર મહિનેય ‘મિચ્છામિ દોકડો’ બોલી આવે. આને ધર્મ કહેવાય ? આને ધર્મ કહેશો તો અધર્મ શાને કહેશો ? આ અધર્મને ધર્મ કહી રહ્યા છો ને એને ધર્મ સમજે છે. બીજાની ભૂલ ખોળી આપે કે તમે બધું ખોટું કરી રહ્યા છો. પોતાની જોડે કોઈ કપટ કરતો હોયને તો કહેશે, તમે અધર્મ કરી રહ્યા છો. લુચ્ચાઈ કરતો હોય તો કહેશે, કે તમે અધર્મ કરી રહ્યા છો. તો આપણે કહીએ, ‘તું તે લખ’ કે આને ધર્મ કહેવાય. પણ ના, ભાન જ નથી ને ! હજુ આત્મા (પા.૩૯)છે એટલે બીજાની ભૂલો તરત ખબર પડી જાય છે. હું જ ઉપાશ્રયમાં બેઠો હોઉં તે આપણે બધા ગયા હોય તો મહારાજ મારા ચાર-પાંચ દોષો તો જોઈ જ નાખે કે, માથે વાળ રાખવાની શી જરૂર છે ? વાળ ઓળવાની શી જરૂર છે ? હાથે વીંટી શા માટે પહેરે છે ? આ માળા શાને પહેરે છે ? બધી ભૂલો ખોળી કાઢે. કારણ કે દ્રષ્ટિ બધી બગડી છે. કરુણા ખાવા જેવું છે. એ તો છંછેડે ત્યારે ખબર પડે. છંછેડે ત્યારે આપણા મહાત્મા જરા ઊંચા નીચા થાય પણ પછી પાછું જ્ઞાન એને ઠેકાણે લાવી દે ને પેલાને ઠેકાણે ના આવે. પેલો મોઢે બોલતાં બીક લાગતી હોય તો અંદરથી માર માર કરે. એટલે છંછેડે ત્યારે ખબર પડે. વંક જડાય પચ્છિમાશાસ્ત્રકારોએ લખ્યું છે કે, ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ કહેવાય અને ઋષભદેવના શિષ્યો ભોળા અને જડ, એટલો જ ફેર. એમાં એક-બે અપવાદ નહીં, બધાયે સરખા. આ બેઉ તીર્થંકરોના શિષ્યો પ્રતિક્રમણને સમજે નહીં. એટલે એમને પ્રતિક્રમણ કરવાનું કહેલું ભગવાને. આ શાસ્ત્રમાં લખેલી વાત છે. આ કંઈ એમને એમ ગપ્પું નથી. પહેલા તીર્થંકરના શિષ્યોને કહ્યું હોય કે, નમસ્કાર કર્યા કરો, તો સવાર સુધી એ કર્યા જ કરતાં હોય. અને હોય એકેકું પાંચ-પાંચ હજાર ફૂટ, દસ-દસ હજાર ફૂટ ઊંચા હોય ને નાક બસો-બસો ફૂટ તો લાંબા હોય. તે કહ્યું હોય તે પ્રમાણે નમસ્કાર કર્યા જ કરતા હોય. સવારથી સાંજ સુધી કર્યા જ કરે. ભગવાન જો બંધ કરવાનું કહેવાનું ભૂલી જાય, તો એ અટકે નહીં. અને મહાવીર ભગવાન જો કહીને ગયા હોય કે એક કલાક સામાયિક કરજો, તો ત્રણ મિનિટ થઈને ભગવાન બહાર ગયા કે આ શીશી જોયા કરે ! મહાવીર ભગવાને જાણ્યું કે મારી પાછળ જે બધા મારા ફોલોઅર્સ છે, આ લોકો કેવા છે ? વિચક્ષણ નથી, વચલા બાવીસ તીર્થંકરોના (પા.૪૦)શિષ્યો વિચક્ષણ જીવો હતા. વિચક્ષણ એટલે, ગુજરાતી અર્થ શું થાય એનો ? પ્રશ્નકર્તા : બહુ ચાલાક, શિયાળ જેવા. દાદાશ્રી : ના. અરે ! શિયાળ જેવો અવળો અર્થ કર્યો આવો ? વિચક્ષણ એટલે જે ક્ષણે ક્ષણે વિચારે કે આ શું થયું ? આ શું થયું ? આ દોષ બેઠો, અને તરત જ પ્રતિક્રમણ કરે. એમાં પ્રતિક્રમણ કરવાનું કહેવું ના પડે. એ તો એમને એમ પ્રતિક્રમણ થઈ જ જાય. તે ઘડીએ દોષ થયો કે તરત જ પ્રતિક્રમણ કરે. વિચક્ષણ એટલે તરત સમજી જાય કે આમની જોડે આ દોષ થયો. આમની જોડે બોલતાં બોલતાં આ શબ્દ જરા ભારે બોલાયો. અને એટલે તરત જ પ્રતિક્રમણ કરે. અગર તો તમારે ને મારે ઝઘડો થયો અત્યારે, કંઈ તમારે માટે મને ખરાબ વિચાર આવ્યો, તો તે ઘડીએ પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં, ઑન ધી મોમેન્ટ એનું પ્રતિક્રમણ કરી નાખે એટલે શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કરે તો એ દોષ જાય, નહીં તો આ દોષ જતા હશે ? આ બાર મહિને ભેગા કરીને આપણે અહીં આગળ પ્રતિક્રમણ કરીએ તેમાં એકુય દોષ યાદ આવતો હોય ? એટલે વચલા બાવીસ તીર્થંકરોના શિષ્યો બહુ ડાહ્યા. કંઈક વધતું-ઓછું ખરાબ બોલી ગયો એટલે તરત પ્રતિક્રમણ ઑન ધી મોમેન્ટ થઈ જ જાય. આ એકલા જ ઉધારી. ‘એય, પર્યુષણ આવશે ને ત્યારે પડકમણું કરી આવીશ’ કહેશે અને પછી ત્યાં આગળ આવીને મિચ્છામિ દુક્કડમ્ કરે. અલ્યા, દોકડો લાવને, મને આપને (!) હવે આનો અર્થ કોણ સમજે ? પડકમણુંનો જ અર્થ સમજતા નથીને ! હવે આને શું કરવું ત્યારે ? એક ૭૬ વર્ષના ડોસા હતા, આપણે બે-ચાર જણ બેઠા હતા ને તેમને મારે દેખાડવું હતું. મેં કહ્યું, ‘આ લોકો પડકમણું સમજતા નથી અને પડકમણું કરે છે.’ મેં એ ડોસાને બોલાવ્યા. મેં કહ્યું, ‘શેઠ, શેઠ, અહીં આવો.’ ‘શું કહો છો ?’ કહે છે. મેં કહ્યું, ‘ક્યાં ગયા’તા ?’ ત્યારે કહે, ‘પડકમણું કરી આવ્યો.’ (પા.૪૧)એટલે મેં કહ્યું, ‘પડકમણું એટલે શું ?’ ત્યારે કહે, ‘એ તો ચાળીસ વર્ષથી કરું છું, પણ એ મને ખબર નથી. હું કાલે મહારાજને પૂછી આવીશ.’ ત્યારે ધન્ય ભાગ્ય મારાં ! મહાવીરના ધન્ય કે કોના ધન્ય છે એ ! આ ચાલે છે તેય ધન્ય ભાગ્ય છે ! ‘મહારાજને પૂછી લાવીશ’, હવે આને ક્યાં પહોંચી વળાય ? તમે પડકમણું કરો છો કે નથી કરતા ? મુમુક્ષુ : હા, એક જ કરું છું બાર મહિનામાં. આખા વર્ષની માફી માંગી લેવાની તે દહાડે. દાદાશ્રી : બસ, પછી પતી ગયું બધું તે દહાડે ? ચાળીસ વર્ષથી કરો છો ! પૂછવું ના પડે ? આપણે જે કરીએ એ આપણે પૂછવું ના જોઈએ કે ભઈ, શું છે આ ? શેના હારુ છે, એવું ના પૂછવું પડે ? તો તમને કોણ ઠપકો આપશે ? આ લોકો વરસમાં એક વાર પ્રતિક્રમણ કરે, ત્યારે નવાં કપડાં પહેરીને જાય. તે પ્રતિક્રમણ એ શું પૈણવાનું છે કે શું છે ? પ્રતિક્રમણ કરવાનું એટલે કેટલું બધું પસ્તાવાનું ! ત્યાં નવાં કપડાં શેમાં ખાવાં છે ? એ કંઈ પૈણવાનું છે ? પાછાં રાયશી ને દેવશી. તે સવારનું ખાધેલું સાંજે યાદ રહેતું નથી, તે કેવી રીતે પ્રતિક્રમણ કરે ? વીતરાગ ધર્મ કોને કહેવાય કે રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે. જૈન ધર્મ તો બધે છે પણ વીતરાગ ધર્મ નથી. બાર મહિને એકવાર પ્રતિક્રમણ કરે, એને જૈન કેમ કહેવાય ? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરો તેનોય વાંધો નથી. મિચ્છામિ દુક્કડમ્પ્રશ્નકર્તા : મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ? દાદાશ્રી : મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધી ભાષાનો શબ્દ છે. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું કહેવા માગે છે કે, મિથ્યા મે દુષ્કૃતમ એવું કહેવા માગે છે, કે મારા દુષ્કૃત થયેલાં મિથ્યા થાઓ. (પા.૪૨)પણ એથી કશું થાય નહીં, એ તો પ્રતિક્રમણ તમારે કરવું પડે. મિચ્છામિ દોકડો કર્યા કરે એ સમજ્યા વગર બધું નકામું ગયું ! મહેનત બધી ધૂળધાણી થઈ ગઈ. મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ. પ્રશ્નકર્તા : એ જે કામ કરતા હોય એનાં પ્રતિક્રમણ કરવાની જરૂર ? દાદાશ્રી : ના, એ કામ કરતા હોય એમાં ગભરાવાનું નહીં. બધી બાબતનું પ્રતિક્રમણ છે એ, આ એકલું દુષ્કૃત નથી. એટલે ગભરાવાનું કંઈ કારણ નથી. દુષ્કૃત કયું કહેવાય કે જેમાં પ્રત્યક્ષ હિંસાનો વેપાર થતો હોય ત્યાં દુષ્કૃત કહેવાય. આ અનાજ-કરિયાણાનો ધંધો હોય એમાં જીવડાં પડી ઊઠે, એ જૈનોને ના શોભે. અને છતાંય ફરજિયાત આવી પડ્યું હોય તો પણ પશ્ચાત્તાપ તો લેવો જ જોઈએ ને કે ‘હે ભગવાન ! મારે ભાગે ક્યાં આવ્યું આ !’ ખુશ તો ના જ થવું જોઈએ ને ? અભિપ્રાય તો જુદો હોવો જ જોઈએ ને આપણો ? જ્ઞાની પ્રરૂપે વીતરાગ ધર્મહવે જ્યાં ચોપડવાની પી ગયા, અને પછી કહેશે, ડૉક્ટર ખરાબ છે, ડૉક્ટરે આમ કર્યું, દવા એની બરોબર ના આપી. તે મારા છોકરાને, બાબાને ના મટ્યું, અલ્યા, ચોપડવાની પી ગયો, તે શેનું મટે ? જે ચોપડવાની પી જાય તો મરી જાય ને ? ચોપડવાની દવા તો પોઈઝન હોય ને ? એવું આ ચોપડવાની પી ગયા છે, અને જૈનધર્મને વગોવે છે. ક્યાં વીતરાગ માર્ગ, ને તેમાં કેટલા ભાગ પડ્યા આજે. જે અક્કલવાળો પાક્યો તે એને જુદો લઈને બેઠો. અલ્યા, પણ આ જુદો લઈને બેસીશ, તો વખતે તને બાપજી બાપજી કરનારા મળશે, પણ આની જવાબદારીનું ભાન કોના માથે ત્યારે ? તેં જુદો માંડ્યો તેથી !! આ ચૂલો કેમ જુદો માંડ્યો ? આ એક ચૂલાની રસોઈ તે ચૂલો જુદો કેમ માંડ્યો ? અહંકારીઓ બધા ભાગ જ પાડે હંમેશાં. (પા.૪૩)આપણે અહીંયાં યે આ દાદાની વંશાવળી બે-પાંચ પેઢી થશેને, એટલે એય જાત-જાતના ભાગ પાડશે. ‘રીવીઝનાલિસ્ટ’ થશે. તે મેં અત્યારે ચેતવ્યા છે. મેં કહ્યું, ‘રીવીઝનાલિસ્ટ’ ના થશો પાછા હો ! આ સાયન્સ છે, જીવતું રહેવા દેજો. કામ કાઢી નાખશે આ. મહાવીર ભગવાન જાતે જ કહીને ગયા છે. અમારા શિષ્યો બધા વાંકા ને જડ થશે. કારણ કે એ નિયમ જ હોય છે. આ એકલી ચોવીસીનો નહીં, બધી ચોવીસીઓનો નિયમ એવો જ હોય. જૈન ધર્મનો કંઈ દોષ છે આમાં ? આ કાળચક્ર એવું છે એટલે. હવે આ કાળચક્રમાં આવું જ હોય. આ તો જ્ઞાનીપુરુષ કોક ફેરો હોય છે. દરેક પાંચમા આરામાં હોય છે જ. નહીં તો આ જગતનું આ છેલ્લા તીર્થંકરના શાસનનું શું થાય ? જંગલ થઈ જાય. એટલે આવું કંઈ ને કંઈ એક પુષ્ટિ હોય છે. એ હોય છે ને તે ચાલ્યા કરે છે. શાસન દીપશે. અત્યારે બહુ સરસ દીપશે. આ શાસન અમારું ના ગણાય. અમે શાસનના શણગાર કહેવાઈએ. મહાવીર શાસનના શણગાર ! હંઅ. અમારે એ શાસનને શું કરવું ? આ પીડા અમે ક્યાં લઈએ ? આ તો ભગવાન મહાવીરનું શાસન કહેવાય. એ તીર્થંકરને શોભે. અમને શોભે નહીં આ. અમે તો વચ્ચે એમાં પુષ્ટિ દેનારા. આ ફક્ત અમારું જ્ઞાન, એનું એ જ વિજ્ઞાન છે આ. પણ ગલીકૂંચીઓવાળું છે આ. અત્યારે લોક ગલીકૂંચીઓમાં પેસી ગયા છે. અને તે આડી ગલી એકલીમાં નહીં પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાંસી. ફરી જડે જ નહીં પાછો. હવે ત્યાં જ્ઞાન પહોંચાડવું એટલે બહુ સહેલું ના હોય. આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેઈટ ફોરવર્ડ ! આ સ્ટ્રેઈટ લાઈન ને આ સ્ટ્રેઈટ લાઈન. નોર્થ, નોર્થ-વેસ્ટ, સાઉથ-વેસ્ટ, એવું બધું પણ એકઝેક્ટ ફીગરનું. અને આ તો અત્યારે કંઈ ગલીની મહીં ગલી ને તેની મહીં ગલી. અને ગોળ કૂંડાળું ફરીને પાછા ત્યાંના ત્યાં જ આવે (પા.૪૪)એટલે આ અક્રમજ્ઞાન આવ્યું. અક્રમ એટલે ક્રમ-બ્રમ કશુંય નહીં. કશું જ કરવાનું નહીં. જ્ઞાનીપુરુષની હાજરીમાં સર્વ પાપો ભસ્મીભૂત કરી શકે, એટલો બધો પાવર હોય, એટલી બધી એની શક્તિ હોય, અનેક જાતના પાવર હોય, છતાં જાતે શાસનના માલિક થવું નથી. શું કામ માલિક થાય ? માલિકને તો દુઃખ હોય. એક તીર્થંકર વગર કોઈ માલિક થઈ શકે નહીં. તીર્થંકરને માલિકપણું હોય નહીં. તીર્થકર તો સ્વભાવથી માલિક છે. તીર્થંકર સ્વભાવ છે એવો. અમારે આનું શું કરવું છે ? અમારું આ નિમિત્ત છે. એ પૂરું કરીને અમે ચાલ્યા જવાના. વચલા બાવીસ તીર્થંકરોના વખતમાં જે જાગૃતિ હતી, એવું જો વર્તન આવી ગયું, એટલે ભગવાન કહેવાય. કારણ કે ચંદુલાલથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઈ જાય છે ખરું પણ તે પ્રતિક્રમણ કરે છે એનું, માટે એ પાછો ધર્મધ્યાનમાં આવી ગયો કહેવાય. જેનું પ્રતિક્રમણ જો સર્વસ્વ રીતે આવું રોકડું થઈ ગયું, ત્યાંથી એ ભગવાન પદ જ ગણાય. જેને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન વધારે થતું નથી, જેને ખાતે-ચોપડે લખાતું નથી. થાય તોય વાંધો નથી પણ પ્રતિક્રમણ કરશે ને, તે ચોપડે નહીં લખાય. એટલે સુધી ‘પદ’ આપણે આપેલું છે. ‘ભગવાનપદ’ તમારા હાથમાં આપેલું છે. હવે તમને જેવું વાપરતાં આવડે એવું વાપરજો. અમે તો આપી છૂટીએ. કારુણ્યભાવે સરેલાં વેણબાવીસ તીર્થંકરોના જે શિષ્યો હતા તે બધા શૂટ ઑન સાઈટવાળા હતા. એટલા બધા જાગૃત હતા કે દોષ થાય કે તરત ખબર પડી જાય. હવે ચોવીસમા તીર્થંકર મહાવીરના અને ઋષભદેવ ભગવાનના, બેઉના શિષ્યો એ જુદી જાતના, ઋષભદેવના જડ અને સરળ અને મહાવીરના જડ અને વાંકા. ‘વંક જડાય પચ્છિમા.’ હવે આ મહાવીર ભગવાને કહેલું જ છે ને, હવે આપણે સાધુઓને પૂછીએ કે ‘ભગવાને કહેલું છે ?’ ત્યારે એ કહે, ‘હા, કહેલું જ છે ને !’ એ એની જાત ઉપર (પા.૪૫)ના લે. ‘લોક એવા થઈ ગયા છે’ એવું કહે. પણ બધાં એવું જ કહે ને ! એટલે એના ભાગે, કોઈના ભાગે આવ્યું જ નહીં ને ! એટલે જા પછી પાછું મહાવીરને ઘેર, પાછું હતું ત્યાં ને ત્યાં ! અમે આવું બોલીએ, પણ અમે તો બોલતાં પહેલાં જ પ્રતિક્રમણ કરી લીધેલું હોય, તમે આવું બોલશો નહીં. અમે આવું કડક બોલીએ છીએ, ભૂલ કાઢીએ છીએ છતાં અમે નિર્દોષ જોઈએ છીએ. પણ જગતને સમજાવવું તો પડશે ને ? યથાર્થ, સાચી વાત તો સમજાવવી પડશે ને ? પણ એટલું ખરું કે, વચલા તીર્થંકરના વખતમાં એ લોકો પ્રતિક્રમણમાં બહુ ડાહ્યા હતા. એટલે બહુ ઊંધા ના પડી જાય એ. એમની પ્રગતિઓ સારી થાય. એ બહુ સારું હોય. પ્રશ્નકર્તા : એ લોકો, જેમ આપણું પ્રતિક્રમણ છે, ‘શૂટ ઑન સાઈટ’નું એવું પ્રતિક્રમણ કરતા’તા, એ લોકો ? એ જરા ખુલાસો કરોને ! દાદાશ્રી : હા, એવું શૂટ ઑન સાઈટનું. અને એ કંઈ મોક્ષનો માર્ગ નહોતો. એ સંસારમાં શૂટ ઑન સાઈટ થયું ને, એટલે ગતિ સારી રહે, ફર્સ્ટક્લાસ રહે, દુઃખ ના આવે, અડચણો ના આવે. વેર બંધાય નહીં. એટલે સંસારી સુખનો માર્ગ હતો એ. અને જેને મોક્ષે જવું હોય તેને મોક્ષના માર્ગમાં આ કામ લાગતું હતું. બન્ને રીતે કામ લાગતું હતું. અને આ તો જુઓને, આ પ્રતિક્રમણ, પડકમણું, પડકમણું બોલે, તે મહારાજ બોલે ને લોકો સાંભળે. અને લોકો મહીં બોલે. આપણે પૂછીએ પડકમણાનો અર્થ શું ? એ બોલે ખરા કે પ્રતિક્રમણ કરવાનું. પણ એકુય દોષ ધોવાય નહીં. કપડું, સાબુ ઘાલવા છતાં, ચોખ્ખું પાણી વાપરવા છતાં, જે ડાઘ ના જતો હોય, તો સાબુ ખોટો હતો, કે કોઈ ધોનારો ખોટો હતો, કે પાણી ખોટું હતું ? એકુંય દોષ ઘટ્યો નથી. શાથી દોષ ના ઘટ્યો ? રોજ આટલાં આટલાં પ્રતિક્રમણ કરે છે, તમે એ તો જાણો છો. તમે આ મહારાજ સાહેબ પાસે ગયેલા ને પ્રતિક્રમણ કરવા માટે ? (પા.૪૬)પ્રશ્નકર્તા : હા, ગયા હતા. દાદાશ્રી : પડકમણું કર્યું તોય કેમ દોષ ધોવાયો નહીં એકુય ? કારણ કે પ્રતિક્રમણ માગધી ભાષામાં બોલે છે, એ પેલો પોપટ બોલેને, આયારામ-ગયારામ, મોક્ષ એ બધું બોલે તોય એમાં આપણે શું ? પોપટની જેમ નામ દેવું, એટલે આ સમજ્યા વગર પ્રતિક્રમણ કોનું કરે છે ? સમજે તો ધોવાય. એટલે મેં મહારાજને કહ્યું કે ગુજરાતીમાં પ્રતિક્રમણ કરી નાખો. સમજે તો મનમાં એમ વિચાર આવે કે આ પ્રતિક્રમણ કરીએ છીએ. પણ આપણે કશું સાચું પ્રતિક્રમણ કરતા નથી. ફળ તો આવવું જોઈએ ને ? પ્રાપ્તિ, હેતુ પ્રમાણેપ્રશ્નકર્તા : આપે કહ્યું કે જે બાવીસ તીર્થંકરો હતા. તે વખતે ‘શૂટ એટ સાઈટ’નાં પ્રતિક્રમણો કરતાં હતાં, માણસો બધા વિચક્ષણ હતા, અને એ પ્રતિક્રમણ સંસારના સુખ અને મોક્ષ બન્ને વસ્તુ માટે કરતા હતા. દાદાશ્રી : નહીં, એવું સુખ માટે નહીં, કેટલાકનો મોક્ષનો હેતુ, કેટલાકનો આ હેતુ, કોઈનો સુખનો હેતુ. આ પ્રતિક્રમણથી જે એનો હેતુ હતો તે પ્રમાણે એનો લાભ મળી જતો હતો. પ્રશ્નકર્તા : પણ હું એમ પૂછું છું કે પ્રતિક્રમણમાં તો મોક્ષનો જ રસ્તો હોયને ? પેલો સુખનો રસ્તો પ્રતિક્રમણમાં કેવી રીતે આવે ? દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું કે આજે ખોટું થયું તે બદલ ક્ષમા માગી લઉં છું એટલે ખોટું ભૂંસાઈ ગયું એટલે પુણ્યૈ બંધાઈ. પુણ્યૈ બંધાઈ, એટલે પુણ્યૈ ભોગવવા જવું પડે. પ્રશ્નકર્તા : પણ એ તો મોક્ષમાર્ગમાં પણ એમ જ થયુંને, તો પેલુંય પ્રતિક્રમણ થયું ને આય પ્રતિક્રમણ ? દાદાશ્રી : એ સહુ સહુના હેતુ જુદા હોય. દરેકના હેતુ અને ધ્યેય જુદા હોય. (પા.૪૭)પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ તો દોષનું છે. કોઈ પણ દોષ થયો એટલે પ્રતિક્રમણ કરે, હવે દોષ ભૂંસાવો એટલે મોક્ષમાર્ગે જવું. દાદાશ્રી : ના, એવું કશું નહીં. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? અમને જરા સમજાવો કે એક પ્રતિક્રમણથી પુણ્યૈ મળે છે અને... દાદાશ્રી : આપણે અહીં પ્રતિક્રમણ છે તે મોક્ષને માટેનું છે. પણ આ સંસારનું પ્રતિક્રમણ તો સંસારનો કોઈ દોષ, સંસારના સુખને માટે, એનો જે હેતુ હોય એમાં વપરાય. પ્રશ્નકર્તા : બરાબર છે, હું એય સમજવા માગું છું કે, પ્રતિક્રમણ બે પ્રકારના આપે કહ્યું, એમાં એક પ્રતિક્રમણનું પરિણામ... દાદાશ્રી : બે પ્રકારનાં નહીં, પ્રતિક્રમણ એક જ પ્રકારનાં હોય. પ્રશ્નકર્તા : હા, પણ એમાં જે ધ્યેય છે, ધ્યેય બે પ્રકારનાં આવ્યા ને ? એક મોક્ષનો ધ્યેય... દાદાશ્રી : ધ્યેય બે પ્રકારના નહીં, કેટલીય પ્રકારના ધ્યેય, એમાં માણસે માણસે જુદી જુદી જાતના ધ્યેય એમાં. પ્રશ્નકર્તા : હવે આમાં સંસારના સુખનું જે ધ્યેય છે. એનો અર્થ થયો કે પ્રતિક્રમણથી એને ધર્મધ્યાન થાય, શુક્લધ્યાન ન થાય ? દાદાશ્રી : પ્રતિક્રમણ ને શુક્લધ્યાનને લેવાદેવા નથી. શુક્લધ્યાન તો લેવાદેવા જ ના હોય સંસારમાં. આપણે ત્યાં અહીં આગળ, આ તો અક્રમ છે એટલે શુક્લધ્યાન. નહીં તો શુક્લધ્યાન બોલાય જ નહીં. પ્રશ્નકર્તા : તો એ પ્રતિક્રમણ કેવી રીતે થાય ? મારે સમજો કે, પ્રતિક્રમણ કરવું છે, મારે સંસારમાં સુખ જોઈએ છે, તો એ કેવી રીતે પ્રતિક્રમણ, કેવો ધ્યેય રાખવાનો ? એટલે ધ્યેય રાખીને, કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું છે ? (પા.૪૮)દાદાશ્રી : ના, ના. પ્રતિક્રમણ તો એ કરેને, તો આપણી મહીં દોષ થયેલો એ ભૂંસાઈ ગયો. પ્રશ્નકર્તા : ભૂંસાઈ ગયો તો ભૂંસાઈ ગયો, પછી ? દાદાશ્રી : એટલે પુણ્યૈ બંધાઈને ! પ્રશ્નકર્તા : હા, તો એવી રીતે આ મોક્ષમાર્ગમાં એને પુણ્યૈ બંધાઈ જ ને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો કેવી રીતે સમજવું તે ? દાદાશ્રી : મોક્ષમાર્ગમાં છૂટા થવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રશ્નકર્તા : પણ એ છૂટા થવા માટે અને પેલા ? દાદાશ્રી : પેલા છૂટા થવાને લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : તો એ મનમાં એવું ધારેલું હોય કે, ભઈ અમને આ... દાદાશ્રી : ના, એ તો ‘ચંદુલાલ’ થઈને પ્રતિક્રમણ કરતો હોયને ? પ્રશ્નકર્તા : અજ્ઞાની અને જ્ઞાની ? દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : એનો ભેદ. હા, તો બરોબર. અજ્ઞાની જે કરે, પ્રતિક્રમણ એને પુણ્યૈ મળે. દાદાશ્રી : અજ્ઞાની જે કરે એને પુણ્યૈ કે પાપ જ હોય. બીજું કશું જ ના હોય. એ તો મોક્ષનો માર્ગ જ ના હોય. પ્રશ્નકર્તા : હા, બરાબર છે. (પા.૪૯)મળે માલ શું પ્રતિક્રમણથીપ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન પણ પેલા બાવીસ તીર્થંકરોના જેવી સ્થિતિમાં લાવી આપે છેને ? દાદાશ્રી : એટલી બધી સ્થિતિમાં ના લાવે પણ આ તો અક્રમ વિજ્ઞાન મોક્ષ ફળ આપે ! પેલું મોક્ષ આપે એવું નથી. એટલો ફેર છે. પ્રશ્નકર્તા : કયું ? દાદાશ્રી : આ આપણું અક્રમ મોક્ષ આપે એવું છે અને પેલું તો જાગૃતિ એકલી જ, એટલે પુણ્યૈ બાંધે મોક્ષની. પેલું જાગૃતિ જ લાવે છે. પ્રશ્નકર્તા : પણ તીર્થંકરોના આશ્રયે એ હતાને ? દાદાશ્રી : તીર્થંકરોના આશ્રયે ગયા એટલે તો મોક્ષમાં પહોંચી જાય. બીજા બધા લોકો છે તે પુણ્યૈ બાંધે બધા. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી એને મોક્ષમાર્ગ ખુલ્લો નથી થતો ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : એવું કેમ ? એ કાળમાં નહીં ? દાદાશ્રી : પ્રતિક્રમણ મોક્ષમાર્ગ નથી. પ્રશ્નકર્તા : પણ એનો આખો જે હેતુ છે તે એને આ રસ્તા પર લાવેને ? દાદાશ્રી : આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે, પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે. પ્રશ્નકર્તા : તો એને આત્મજ્ઞાન થવાનું કારણ બની શકે એ પ્રતિક્રમણ ? (પા.૫૦)દાદાશ્રી : ના. આ જૂનાનું પ્રતિક્રમણ કરે ને નવાં અતિક્રમણ ઊભાં થાય છે પાછાં મોહનાં. મોહ બંધ થયેલો નહીં ને ! મોહ ચાલુ ને ! દર્શનમોહ એટલે જૂનાં બધાં પ્રતિક્રમણ કરે ને એ વિલય થઇ જાય અને નવાં ઊભાં થાય. પુણ્યૈ બંધાય, પ્રતિક્રમણ કરીએ તે ઘડીએ. પ્રશ્નકર્તા : એટલે દોષોનાં પડો, આવરણો પાતળાં પડતાં જાય ને ? દાદાશ્રી : દોષો જ નાશ થતા જાય. પ્રશ્નકર્તા : તો પછી બીજા કયા દોષ ઊભા થતા જાય એને ? દાદાશ્રી : બધા. દર્શનમોહ એટલે દોષ ઊભા થયા જ કરે અને પ્રતિક્રમણ એને કાઢ્યા કરે. પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ એને ધર્મધ્યાનમાં રાખે ? દાદાશ્રી : બધું ધર્મધ્યાન શી રીતે થઈ શકે ? શુક્લધ્યાન, તો હોય જ નહીં ત્યાં, ધર્મધ્યાનેય ક્યાંથી હોય ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એ ધર્મધ્યાનમાં ના કહેવાય ? દાદાશ્રી : એ પ્રતિક્રમણ જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : એ શું છે ? દાદાશ્રી : એ પ્રતિક્રમણ જે મોહ હોય એનો નાશ કરે છે. ફરી એ મોહ ઉત્પન્ન ના થાય એમાં. અને દર્શન મોહનીય બીજો મોહ ઉત્પન્ન થવા દે. અને પ્રતિક્રમણ એ ફરી પાછો નાશ કરે. દર્શન મોહનીયથી પાછો ફરી મોહ ઊભો થાય. પ્રતિક્રમણથી ફરી નાશ કરે. એ કર્યા જ કરે. પ્રશ્નકર્તા : મોહ ઘટાડવાની જે પ્રક્રિયા છે, એને દોષ ઘટાડવા જેવું કહો છો ? દાદાશ્રી : આખા જગતના પરમાણુ છે એટલા બધા દોષ છે. (પા.૫૧)એ દોષ આ પ્રતિક્રમણથી ખપી જાય છે બધા. સંસારના લોકો પ્રતિક્રમણ કરે, કોઈ જાગૃત હોય તો, રાયશી-દેવશી બેઉ કરે, તે એટલા છે તો દોષ ઓછા થઈ ગયા, પણ દર્શનમોહનીય જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ ના હોય, દોષો ઊભા થયા જ કરે. જેટલાં પ્રતિક્રમણ કરે એટલા દોષો બધાય જાય. પ્રશ્નકર્તા : એટલે એનો એક દાખલો આપો ને કે, બાવીસ તીર્થંકરોના વખતમાં ક્યો દોષ કર્યો, કેવી રીતે પ્રતિક્રમણ કર્યું ? દાદાશ્રી : આપણે ત્યાં કરીએ છીએ, એવી રીતે જ તો. અત્યારે જે દોષ આપણને દેખાય છે ને, એવી રીતે એ કરે. પ્રશ્નકર્તા : કંઈક ચોરી કરી, કંઈક ઊધું બોલાઈ ગયું હોય એનાથી, તો થાય કે, આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. દાદાશ્રી : હા, તો એ બધું ઊધું ના બોલાય ફરી. પ્રશ્નકર્તા : એટલે છતું બોલવું જોઈએ એવો એનો નવો બંધ પડ્યો ? દાદાશ્રી : પાછું એ થાય. પ્રશ્નકર્તા : એટલે આવી રીતે આખી પ્રોસીજર (કાર્યવાહી) બદલાય છે ? દાદાશ્રી : હા, દર્શનમોહનીય ખરું ને ! એટલે આ ફેરે પાછું થઈ ગયું. આવતે ભવે ફરી પાછું વીંટાય એવું ને એવું. પ્રશ્નકર્તા : એટલે આ બધું ઊંધું બોલાયું તે અટક્યું ને છતું બોલાવું જોઈએ, એ ચાર્જ થયું ? દાદાશ્રી : છતું તો આ ભવમાં જ થાય, પાછો આવતા ભવમાં કોઈ કુસંગ મળ્યો તો પાછું ઊધું બોલતાં શીખી જાય. પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ કર્યું એટલે એનાથી જૂનો દોષ (પા.૫૨)ગયો ? દાદાશ્રી : હા, ગયો બસ. પ્રશ્નકર્તા : પછી આપે કહ્યું કે દર્શનમોહનીય છે ત્યાં સુધી નવું કર્મ બાંધે જ. નવો દોષ તો ઊભો કરે જ. દાદાશ્રી : એ તો નવો દોષ ચાલુ જ હોય. પ્રશ્નકર્તા : એનું ફળ આવતે ભવે આવે એને. એટલું ઊંધું બોલાયું હોય એ દોષ છેદ્યો એણે, પણ પાછો નવો તો ચાલુ જ રહે છે એનો. દાદાશ્રી : હા, પણ એ ઊંધું બોલવાનો દોષ આ ભવમાં જતો રહ્યો એનો. તે આ ભવમાં ના બોલે એ. પણ આવતો ભવ પાછો તે ઓળખાણવાળા જુદી જાતના મળી આવે તે ફરી ટેવ પડી જાય. દર્શનમોહ રહેલો એટલે ઊગ્યા જ કરે ને બધું ! પ્રશ્નકર્તા : પણ એણે એ દોષ કાઢ્યો કેવી રીતે ? પ્રતિક્રમણ કર્યું હશે તે ઘડીએ શું ? દાદાશ્રી : શાસ્ત્રના આધારે આ ખોટું છે, આમ ન થવું જોઈએ, એવું બોલે. પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, હવે નહીં બોલું એમ નક્કી કરે. એટલે એ બધો દોષ ગયો અને એટલો ટાઈમ છે તે આત્મા માટે કાઢ્યો. એમાં પુદ્ગલ ભાગ હેતુ નથી. એટલે પુણ્યૈ બંધાઈ. આ હાથીને તેં જોયેલો નહીં ? એ નહાય છે તે જોજો ત્યાં આગળ. નહાયા પછી શું કરે છે તે જોયું છે ને ? પ્રશ્નકર્તા : ગજસ્નાનવત્ કહે છે ને ? એ પાછી ધૂળ ઊડાડે શરીર પર ! દાદાશ્રી : અને પાછો ધોઈ નાખે. એટલે જ્યાં સુધી દર્શનમોહનીય છે ત્યાં સુધી ગજસ્નાનવત્ ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : આપે કહ્યું એમ દોષ થયો. એનું એ અત્યારે આ (પા.૫૩)ભવમાં પ્રતિક્રમણ કરી લે. એટલે હવે એ નિર્દોષ થઈ ગયો પછી આવતા ભવમાં ફરી દોષ કરે જ કેમ ? દાદાશ્રી : એ તો કરવાનો જ. તે દર્શનમોહનીય ચાલુ છે એટલે પછી જેવા સંજોગ મળે તેવું કરે. પ્રશ્નકર્તા : એટલે મૂળ કહેવાની વાત એ છે કે આત્મજ્ઞાન થાય પછી પ્રતિક્રમણ કરે તો જ નિર્દોષ થાય અને પછી કોઈપણ જન્મમાં એવું ન થાય. દાદાશ્રી : અનંત અવતારથી ચોરીઓ છોડી છોડીને આવ્યો હોય, તે આવતા ભવે મા-બાપ ચોર મળે તે પાછો ચોર થઈ જાય. જેને દર્શનમોહ છે, એ શું ના કરે ? પ્રશ્નકર્તા : તો એને પેલું પ્રત્યાખ્યાન કરેલું ફળ ના આપે ? દાદાશ્રી : ના. એ તો એને તે ભવ પૂરતું જ હોય, પછી ના હોય. પછી બીજા સંજોગો ભેગા થાય તો બીજું બધું થાય. આ તો આપણને અહીં આગળ પ્રતિક્રમણ કામ લાગ્યાં કે ભાઈ, આવક બંધ થઈ ગઈ છે. માટે જાવકનો નિકાલ કરો. દર્શનમોહ બંધ થઈ ગયો, આવક બંધ થઈ ગઈ છે. આવક જો ચાલુ રહે તો રહે ? તો એ લોકોને આવક ચાલુ છે જથ્થાબંધ. જાવક કરતાં આવક વધારે. કેટલી આવક હોય ? જેટલી કલ્પના કરે એટલાં કર્મ ! આમ સર્જાયો એનો ઇતિહાસપ્રશ્નકર્તા : આ જૈનમાં સંવત્સરી કરવાનું કેમ કહ્યું ? એ પર્વનો ઇતિહાસ શું ? દાદાશ્રી : જે તે રસ્તે પ્રતિક્રમણ કરજે. એવું છે, ભગવાને કહેલું, રોજ પૂંજો વાળજે. રાતે ને દહાડે, બે વખત પૂંજો વાળજે. સૌથી પહેલું કહ્યું કે, ‘શૂટ ઑન સાઈટ’ કરજે. ત્યારે કહે, ‘સાહેબ, એવું કંઈ વારેઘડીયે બંદૂક સાથે હોય છે ?’ ત્યારે કહે, ‘રાતની જોખમદારીઓની (પા.૫૪)બંદૂક સવારમાં લગાવજે અને રાતે લગાવજે.’ પછી એ પાછા હજારમાંથી બે જણ નીકળ્યા એ કહે, ‘અમારે સાહેબ શું કરવું ? અમારે થતું નથી આવું, સવાર ને સાંજનું લગાડવાનું.’ ત્યારે કહે છે, ‘પાક્ષિક કરજો.’ તે પણ ના નીકળ્યા ત્યારે કહે, ‘ચાર મહિને કરજો.’ ભગવાનને આગળ કંઈ રસ્તો દેખાડવો પડે ને ! છેવટે ભગવાન અહીં આવીને અટક્યા કે, ‘ભઈ સંવત્સરીને દહાડે તો કરજે છેવટે. બાધેભારે બોલજો કે બધાની માફી માગું છું.’ એટલે આ કાળમાં અત્યારે ‘શૂટ ઑન સાઈટ’ની વાત તો ક્યાં ગઈ પણ સાંજે કહે છે કે, આખા દહાડાનું પ્રતિક્રમણ કરજો. તે વાતેય ક્યાં ગઈ, અઠવાડિયે એકાદવાર કરજો તે વાતેય ક્યાં ગઈ ને પાક્ષિકે ક્યાં ગયું અને બાર મહિને એક ફેરો કરે. તેય સમજતા નથી ને કપડાં સરસ પહેરીને ફર્યા કરે છે. એટલે આમ રીયલ (સાચા) પ્રતિક્રમણ કોઈ કરતા નથી. એટલે દોષો વધતા જ ચાલ્યા. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય, કે દોષ ઘટતા જ આવે. અતિક્રમણથી આ જગત ઊભું થયું અને પ્રતિક્રમણથી બંધ થાય. માર્ગદર્શન વંકાયાં ત્યાં શું ?મુમુક્ષુ : દાદા, આમ તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ. દાદાશ્રી : તમને પ્રતિક્રમણ કરતાં આવડતું હશે ? એ તો બધું ઠીક છે. એ તો બાળકના હાથમાં રતન આપવા જેવું. પ્રતિક્રમણ તો સમજ્યા પછી પ્રતિક્રમણ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરાવનાર જોઈએ ને પ્રતિક્રમણ કરનાર જોઈએ. બધું સાથે જોઈએ. આ તો કોણ કરાવનાર તમારે ત્યાં ? મુમુક્ષુ : આ પ્રતિક્રમણ અમને મહારાજ કરાવડાવે છે. પ્રતિક્રમણ શું છે, તેની મને ખબરેય નથી. પણ એમાં કહે છે કે, ઢીંગલા-ઢીંગલી પૈણાવ્યાં, આ કર્યું, એ બધાં પાપ છે. એના મિચ્છામિ દુક્કડમ કરાવે છે. (પા.૫૫)દાદાશ્રી : નહીં, આવું સાધુ મહારાજ કહે છે કે એમાં કોઈ વસ્તુમાં પાપ જ નથી. નવરા પડ્યા, એમને સમકિત ના આવ્યું, તે એમનું મગજ ખરાબ થઈ ગયું ને લોકોનાં મગજ ખરાબ કરી નાખ્યાં. હવે આવું બોલવું એય ગુનો છે. કારણ કે કૃપાળુદેવે કહ્યું કે આવું કરતો હોય ને જો તમે ખોટું કહેશો, તો એ છોડી દેશે. માટે કશું બોલવું નહીં. એટલે પ્રતિક્રમણ આવું થઈ જવાથી બધું બગડી ગયેલું છે. એમ કહીએ તો ચાલે. છતાં કાઢી ના નખાય. જે છે એનાથી ચલાવી લેવાનું છે. આમાંથી સુધરશે પાછું. કાળ સુધારી રહ્યો છે. ઓર્નામેન્ટલની એમાં નથી જરૂરમુમુક્ષુ : પ્રતિક્રમણ કરવાની કોઈ ટેકનિક ખરી ? દાદાશ્રી : હવે કશું ના આવડે તો માફી માંગો કે હે દાદા, તમારી સાક્ષીએ મને આ સમજણ પડતી નથી, આવી-તેવી કે ચાલ્યું. અને ટેકનિકની ત્યાં જરૂર નથી. તમારો હેતુ શો છે ? એટલે પછી હેતુને બુદ્ધિશાળી લોકો ઓર્નામેન્ટલ બનાવે ને ઓર્નામેન્ટલ બનાવે એટલે પેલો બિચારો ભડક્યા કરે કે, આપણા જેવાને સમજણ પડતી નથી, આપણાથી થાય નહીં. અરે, મેલને પૂળો અહીંથી, માફી માગો. ‘મને સમજણ પડતી નથી. આ બધી ભૂલો થઈ, તે ભગવાન આપની સાક્ષીએ માફી માગું છું.’ ત્યાં તો ઓર્નામેન્ટલ હોતું હશે ? અતિક્રમણ, ડગલે ને પગલેઆ જે પ્રતિક્રમણ તમે કરો છો, એ પ્રતિક્રમણથી એક વરસ દહાડામાં બે આના મળે. અને સાચું પ્રતિક્રમણ કરે ને તો વરસ દહાડામાં ત્રણસોને પાંસઠેય દહાડાના, ચોવીસેય કલાકના સોળ આના મળે. (પા.૫૬)સાચું પ્રતિક્રમણ એટલે સમજાયું તમને ? આપણે આમ વ્યવહારમાં ક્રમણ રાખીએ છીએ. ક્રમણ એટલે આપણે કહીએ, ‘મને ખાવાનું આપો માજી.’ તે માજી ખાવાનું આપે. એમાં કશી ભાંજગડ નથી. પણ આપણે કહીએ, ‘માજી, આ કઢી ખારી કરી નાખી’, તે અતિક્રમણ કર્યું કહેવાય. અને અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ ના કર્યું હોય તો પ્રતિક્રમણ ના કરવું પડે. અતિક્રમણ કરે છે ખરાં કે લોક ? પ્રશ્નકર્તા : અતિક્રમણ તો ઓટોમેટિક જ થઈ જાય. દાદાશ્રી : અતિક્રમણ કરો તો પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહ્યું છે. અતિક્રમણ ના કરતા હોય તો કશો વાંધો નથી. તમે કઢી ખારી આપી ને હું ખાઈ લઉં તેમાં પ્રતિક્રમણની જરૂર નથી. પ્રશ્નકર્તા : ડગલે ને પગલે અતિક્રમણ તો થાય છે ? દાદાશ્રી : તો અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્યપણું ફરી આવશે નહીં. ચેતીને ચાલજો. આ તો પોપાબાઈનું રાજ નથી, આ તો વીતરાગોનું રાજ છે. અહીં જરાયે લાંચરુશ્વત ના ચાલે. હા, બધા જાણે અહીં તો. પોલ ના ચાલે અહીં આગળ તો. પ્રશ્નકર્તા : એના માટે રસ્તો ખરો ? દાદાશ્રી : આ બેનને તમારા માટે જરાક અવળો વિચાર આવે કે આ વળી આવ્યા ને મને ભીડ શું કરવા કરી ? એટલો વિચાર મહીં આવે પણ તે તમને જાણવા ના દે, મોઢું હસતું રાખે. તે વખતે મહીં પ્રતિક્રમણ કરે. અવળો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય. એ રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે. નર્યા દોષ જ છે, ભાન જ નથી હોતું. ખપે રોકડું પ્રતિક્રમણમુમુક્ષુ : આ કર્મો ‘ડિસ્ચાર્જ’ થાય છે, ત્યારે જે ખરાબ થયાનું પ્રતિક્રમણ કરીએ તોય એટલાં કર્મનાં ફળની થોડીક અસર તો ભોગવવી પડેને ? (પા.૫૭)દાદાશ્રી : કોને ? મુમુક્ષુ : આપણને. દાદાશ્રી : દોષ થાય એટલે પ્રતિક્રમણ કરે. પણ એ પ્રતિક્રમણો તમારાથી ના થાય. સાધુઓને નથી આવડતુંને, આ પ્રતિક્રમણ તો શૂટ ઑન સાઈટ, દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ હોય. મુમુક્ષુ : અમે રાયશી ને દેવશી બે પ્રતિક્રમણ કરીએ. દાદાશ્રી : એ પ્રતિક્રમણ ના ચાલે. એ તે કેવું જોઈએ ? દોષ થાય કે તરત દોષ ઓળખતાં આવડવું જોઈએ, એ ચાલે. આ રાયશી-દેવશી કરીને તો અત્યાર સુધી ભટક ભટક કર્યા કર્યું, અનંત અવતારથી ! પહેલાંના વખતમાં પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરતા. તે માણસને અત્યારે એ રહે નહીં એટલે પછી આખો દહાડો દોષ થયા હોય તે રાત્રે સંભારીને દહાડાનાં પ્રતિક્રમણ કરવાનાં, તે દેવશી કહેવાય. અને આખી રાતના દોષો તે સંભારી અને સવારનાં પ્રતિક્રમણ કરવાનાં તે રાયશી કહેવાય. ન હોય કદી ક્રિયા પ્રતિક્રમણઅમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો અમે એને શું શીખવાડીએ કે તારાથી ખોટું બોલાઈ જવાય તેનો વાંધો નથી, મનમાં તું જુદું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું પ્રતિક્રમણ કર, કે ફરી આવું નહીં બોલું. પ્રતિક્રમણ કરવાનું અમે શીખવાડીએ. મુમુક્ષુ : તો અમે સવાર-સાંજ રાયશી ને દેવશી પ્રતિક્રમણ કરીએ છીએ એ શું ખોટું છે ? દાદાશ્રી : એ તો મરી ગયેલાં મડદાંનાં કરો છો, જીવતાનાં પ્રતિક્રમણ નથી કરતા. એ તો મરી ગયેલાં મડદાં હોય એવું પ્રતિક્રમણ કરીએ તો એને પુણ્ય બંધાય. મુમુક્ષુ : એનો અર્થ એવો થયો કે જ્યારે ખોટું કરીએ ત્યારે (પા.૫૮)પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો હંમેશાં શૂટ ઑન સાઈટ કરવાનું હોય. પ્રતિક્રમણ તો કોઈ દહાડોય ઉધાર ના રખાય. મુમુક્ષુ : જીવ તો હંમેશાં કર્મની વર્ગણા બાંધ્યા કરે છે તો એણે સતત પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : હાસ્તોને, કરવું પડે. આમાં ઘણા મહાત્માઓ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ રોજ કરતા હશે ! આ નીરુબેન તો કેટલાં કરતાં હશે ? આજે આઠ વર્ષથી રોજ પાંચસો-પાંચસો, હજાર જેટલાં પ્રતિક્રમણ કરે. પ્રશ્નકર્તા : એ તો ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ તો થાય જ નહીંને ? દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં. પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે, જે કામ કરે. ક્રિયા પ્રતિક્રમણ હોય નહીં. ક્રિયા પ્રતિક્રમણ તો મડદું છે મડદું. એ તો ખરાબ જગ્યાએ ટાઈમ ના વપરાય અને સામાયિક થાય. સામાયિકનું ફળ મળે એમાં મન સારું રહે. પ્રશ્નકર્તા : એ નિર્જરા ખરી કે નહીં ? દાદાશ્રી : નિર્જરા તો હંમેશાં થયા જ કરે. નિર્જરા તો દરેક જીવને થઈ જ રહી છે પણ એ સારો ભાવ છે કે તારે પ્રતિક્રમણ કરવું છે. એ ભાવ સારો છે એટલે નિર્જરા સારી થાય બાકી પ્રતિક્રમણ તો શૂટ ઑન સાઈટ હોય. આ બધા દિવસમાં પચાસ-સો વખત પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ વગર તો કોઈ દહાડો કશું થાય એવું નથી. અને આ જે પ્રતિક્રમણ છે એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ભાવ પ્રતિક્રમણ જોઈશે. પ્રશ્નકર્તા : દ્રવ્યની સાથે ભાવ જોઈએને ? (પા.૫૯)દાદાશ્રી : હા, પણ દ્રવ્ય એકલું જ થાય છે, ભાવ નથી હોતો. કારણ કે દુષમકાળના જીવોને ભાવ રાખવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એ જ્ઞાની પુરુષની કૃપા હોય અને ઉપર હાથ મૂકે ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય. નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં. પ્રશ્નકર્તા : દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે શું એ જરા સમજાવો. દાદાશ્રી : ભાવથી બોલવું કે આવું ન હોવું જોઈએ. ભાવ એવો રાખવો કે આવું ન હોવું જોઈએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને પેલું દ્રવ્યથી તો આખું બધું શબ્દે શબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે, એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય. સાચું પ્રતિક્રમણ કયું ?ભગવાને કહ્યું’તું કે આ પ્રતિક્રમણની ભાષા જો સમજણ પડે તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજો. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. પણ જો ના સમજણ પડે તો એની જે ભાષા સમજતો હોય તો એ ભાષામાં પ્રતિક્રમણ સમજાવજો. પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીના એમાં એવું આવે છે કે તું છેવટે સંવત્સરી પ્રતિક્રમણ કરીશ તોય વાંધો નહીં આવે. દાદાશ્રી : ના, એવું કશું કહ્યું નથી. અને ત્યાં આ પ્રતિક્રમણ હતું જ નહીં. ભગવાન મહાવીરના વખતમાં આવું પ્રતિક્રમણ હતું જ નહીં. આ પ્રતિક્રમણો મહાવીર ભગવાનના ગયા પછી શરૂ થયાં છે. અને પ્રતિક્રમણ હોવું જ જોઈએ. અને તે પ્રતિક્રમણ પોતાની ભાષામાં હોવું જોઈએ. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન વગર તો કોઈનો મોક્ષ જ નથી. એક માણસ જમવાનું એવું શીખ્યો હોય, કે હોઈયાં, હોઈયાં, હોઈયાં કરે એટલે આપણી ભૂખ મટે ? (પા.૬૦)પ્રશ્નકર્તા : ન મટે, એ તો મહીં જાય ત્યારે મટે. દાદાશ્રી : કેમ ? થાળીમાં લઈ કોળિયા ભર્યા ને આપણે, હોઈયાં કર્યુંને ? પ્રશ્નકર્તા : પણ એ પેટમાં ન ગયું, એ તો બહાર ગયું. દાદાશ્રી : તો આ પ્રતિક્રમણ તો જો આજ ભગવાન હોતને, તો આ બધાને જેલમાં પૂરી દેત. તે મૂઆ આવું કર્યું ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માંગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘને ધોઈને સાફ કરી નાખવો, એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી, એનું નામ પ્રતિક્રમણ. હવે તો નર્યું ડાઘવાળું ધોતિયું દેખાય છે. આ તો એક દોષનુંય પ્રતિક્રમણ કર્યું નથી અને નર્યા દોષના ભંડાર થઈ ગયા છે. આ નીરુબેન છે, તે શાથી એમના આચાર-વિચાર બધા ઊંચા ગયા છે ? ત્યારે કહે, રોજના પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને આ લોકોએ એક (પણ) નથી કર્યું. રાયશી-દેવશીએવું છે, પ્રતિક્રમણનો અર્થ દોષ ઘટવા. જો દોષ ઘટે નહીં તો પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા છે. ઊલટું વધારે છે. એટલે એના કરતાં રાયશી-દેવશી એ બે કચ્છી ભાઈઓ સારા (!) પ્રશ્નકર્તા : ‘રાયશી-દેવશી કોઈ જીવ છે,’ એ તો કલ્પના છે. કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે. દાદાશ્રી : પણ એ તો લોકો એમ સમજે ને કે આ રાયશી છે, આ દેવશી છે, તો આ દેવશીનો ભાઈ. તે કચ્છમાં એક જણ પ્રતિક્રમણ કરવા બેઠો. તેણે તો રાયશી પ્રતિક્રમણ કર્યું અને પેલો સાંભળે કે મારા હાળા, લોક કેટલાક દેવશીનું પ્રતિક્રમણ કરે છે, કેટલાક રાયશીનું કરે (પા.૬૧)છે. તે અમારું ખેતશીનું કેમ નહીં કરતા હોય ? એ નામેય હોય છે ને દેવશી ને રાયશી ? હવે એ લોકો જે પ્રતિક્રમણ કરે છે ને, એમાં પ્રતિક્રમણનું બળ જ નથી હોતું. સમજ્યા વગરનું કરે છે. અને તે પાછું કેવું કરે છે ? માગધી ભાષામાં, એક અક્ષરેય સમજે નહીં, સમજ્યા વગરનું. અંગ્રેજીમાં આપણે કહીએ, ‘પારડન મી, પારડન મી’ કરીએ તો શું ભલીવાર આવે ? અંગ્રેજી તો સમજતા નથી ! આટલાં પ્રતિક્રમણ કરવા છતાં એકુય પ્રતિક્રમણ જો સાચું કર્યું હોય તો. એના કરતાં ગુજરાતી શીખવાડી દીધું હોય ને કે ભઈ, આ પ્રતિક્રમણ આવું કરજે. તો એ જાણે કે આની જોડે દોષ થયા માટે પ્રતિક્રમણ કરું છું. પણ આ તો સમજતા જ નથી ને બાર મહિનાનું ભેગું કરે છે. નહીં તો રાયશી-દેવશી પ્રતિક્રમણ કરે. ત્યારે પેલો કહે, ‘મેં પ્રેમશી પ્રતિક્રમણ કર્યું.’ એ એમ સમજી જાય કે ‘આ પેલા એના નામનું ગાય છે, ત્યારે હું મારા નામનું ગાઉં.’ આ તો ચોપડવાની પી ગયા છે. માટે હવે ચોપડવાની ચોપડો ને પીવાની પીવો. જો પોતાની ભૂલ પોતાને માલમ પડે તો એ પરમાત્મા થાય. હંમેશાંય કર્યાનું આવરણ આવે છે. આવરણ આવે એટલે ભૂલ દબાઈ જાય ને એટલે ભૂલ દેખાય જ નહીં. ભૂલ તો આવરણ તૂટે ત્યારે દેખાય અને એ જ્ઞાનીપુરુષની પાસે આવરણ તૂટે, બાકી પોતાથી આવરણ તૂટે નહીં. જ્ઞાનીપુરુષ તો બધાં આવરણ ફ્રેકચર કરી ઊડાડી મેલે ! પછી આ લોકોને તો રાયશી ને દેવશી ના પોષાય. આખા દહાડાનું સરવૈયું રાતે ના નીકળે, ભૂલી જાય આ લોકો. આ લોકો બેભાન છે ને ! એવું છે, રાયશી ને દેવશી એ બે પ્રતિક્રમણ જે કરે છે એને (પા.૬૨)ભગવાન ચાર આના આપે છે. મહેનત કરીને ? એ બેમાં બે કલાક થતા હશે ને ? તો મહેનત કર્યાના ચાર આના આપે છે. એક સામાયિકના ચાર આના. એમ બેના આઠ આના થાય ને એને ? આપણા મહાત્માઓ તો દહાડામાં સો-સો પ્રતિક્રમણ કરે ને તેના એક લાખ રૂપિયા આપે છે. (એની કિંમત સમજાવવા માટે દાખલા રૂપે સમજાવ્યું છે.) મૃત પ્રતિક્રમણખરેખર તો કેવું હોવું જોઈએ ? આજથી પાંચસો વર્ષ પહેલાં કેવાં પ્રતિક્રમણ થતાં ? તે મહારાજ સાહેબને પૂછે કે સાહેબ, મારે શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કેવી રીતે કરવાં ? અમે આ ધંધો કરીએ તે, આ સોપારી ઓછી તોલીને આપું છું, સારું મીઠું લેવા આવે, ત્યારે ખરાબ મીઠું આપું છું, તેલ લેવા આવે ત્યારે ભેળસેળવાળું આપું છું. મહીં તોલ્યામાં દોષ થાય છે, એ શી રીતે હું પ્રતિક્રમણ કરું ? ત્યારે મહારાજ કહે, દેવશી પ્રતિક્રમણ કરજે. આખા દહાડાની ભૂલને યાદ કરી, લલ્લુ જોડે સોપારી ઓછી આપી’તી, તેનું પ્રતિક્રમણ, આને મીઠું ખરાબ આપ્યું તેનું પ્રતિક્રમણ, આને તેલ ભેળસેળવાળું આપ્યું’તું. દુકાનમાં ભાંજગડ કર કર કરી તેનું પ્રતિક્રમણ. એટલે દેવશી રીતે કરજે. ચોપડો ઉધાર છે, રાયશી, દેવશી કરતાં કરતાં કચ્છી લોકોએ નામ પાડી દીધાં. રાયશી, કરમશી, દેવશી... ! રાયશી એટલે રાતના કરેલા દોષો તેનું પ્રતિક્રમણ, એમ કરતાં કરતાં નામ પડી ગયાં, તો રહ્યું જ શું તે ? તે પાંચસો વર્ષ પહેલાં કંઈક સજીવન હતું આ પ્રતિક્રમણ, તે અત્યારે તો એ પ્રતિક્રમણની મરી ગયા પછી પૂજા થાય છે ! અલ્યા છોડને મૂઆ ! હવે મરી ગયેલા પ્રતિક્રમણ છોડને ! ત્યારે કહે, ના આવી પૂજા કરવાની. આજ પ્રતિક્રમણ છે. આવજો બધા ત્યાં આગળ. અલ્યા મૂઆ, મરી ગયેલા પ્રતિક્રમણની શું કામ પૂજા કરો છો ? અલ્યા, કઈ જાતના ચક્કરો પાક્યા ! ભગવાને પહેલેથી બધું જ ભાખેલું છે. ભગવાન બધું જ જાણતા’તા કે કેવા પાકવાના છે ! (પા.૬૩)મોક્ષ માટેના પચ્ચખાણઅને ક્રમિક માર્ગમાં પ્રત્યાખ્યાન કરે છે, પણ પ્રતિક્રમણ કરતા નથી. મહારાજ પાસે પચ્ચખાણ લે પણ પ્રતિક્રમણ તો સમજતા જ નથી. પ્રત્યાખ્યાનેય સમજતા નથી. આ તો બટાકા નહીં ખાવાને કે એવાં તેવાં પચ્ચખાણ લે. લીલોતરી નહીં લઉં એવાં પચ્ચખાણ લે. એ પચ્ચખાણ મોક્ષે જવાનાં ન હોય. મોક્ષે જવા માટેનાં પચ્ચખાણ તો જુદાં હોય, જેનું પ્રતિક્રમણ કરીએ તેનું જ પચ્ચખાણ હોય કે ફરી એ નહીં કરું. આપણે મોક્ષે જવાનું પ્રતિક્રમણ કરીએ. એ કોઈ જગ્યાએ હોય નહીં. પ્રતિક્રમણ ઊભું જ નથી થયું કોઈ દહાડોય. ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોતું જ નથી. અત્યારે એક પણ (વ્યક્તિ) એવો નથી કે જે (યથાર્થ) પ્રતિક્રમણ કરતો હોય. આ તો બધા જાથું પ્રતિક્રમણ કરે. આમાં જે માગધી ભાષામાં લખાયાં તે મહારાજ બોલે જાય ને પેલા સાંભળ્યે જાય. એટલે સાબુ ઘસો, એમ કહે છે. અલ્યા, પણ સાબુ ધોતિયાંમાં ઘસવાનો કે અહીં ટેબલ પર ઘસવાનો ? એ પ્રતિક્રમણ બધાં નકામાં જાય છે. મહારાજ પ્રતિક્રમણ કરાવડાવે તે મહારાજ ટેબલ ઉપર સાબુ ઘસ ઘસ કર્યા કરે અને પેલા જમીન ઉપર, નીચે લાદી ઉપર ઘસ ઘસ કર્યા કરે. કોઈએ પ્રતિક્રમણ નથી કરેલાં. પચ્ચખાણ લીધેલાં પણ તે કેવાં પચ્ચખાણ ? આ લીલોતરી નહીં ખાઉં, ફલાણું નહીં ખાઉં, બટાકા નહીં ખાઉં, કંદમૂળ નહીં ખાઉં, રાત્રે નહીં ખાઉં. રાત્રે નહીં ખાવાની બાધા એનું નામ પચ્ચખાણ. એને ને મોક્ષમાર્ગને કશું લેવાદેવા નથી. એ જે પચ્ચખાણ છે તે બધા સંસારમાર્ગ છે. આવતો ભવ સારો અને જરા ભૌતિક સુખવાળો આવે. આપણાં પ્રત્યાખ્યાન તો પ્રતિક્રમણ કરે તેનાં જ પચ્ચખાણ કરવાનાં, ફરી આ દોષ નહીં કરું હવે. ફરી એવું થાય એ તો સ્વાભાવિક છે. ડુંગળી (કાંદો) છે તે પડ આવ્યા જ કરે. તેથી કરીને આ ખોટું હતું એવું ના કહેવાય આપણાથી. પચ્ચખાણ લે છે, તે ફરી આવું થાય (પા.૬૪)છે, તેમાં તને શું સમજણ પડે ? તું શું કામ પાસ કરે ? દોષ થવા એને પચ્ચખાણ સાથે લેવાદેવા નહીંને ! એ એને એમ જાણે કે આ પચ્ચખાણ લીધું એટલે દોષ બંધ થઈ જવો જોઈએ. એ તો ડુંગળીનાં પડ પંદરસો-પંદરસો, પાંચસો-પાંચસો, હજાર, બે હજાર કે પાંચ હજાર હોય એ કંઈ પડ જાય નહીં ત્યાં સુધી દોષ થયા કરે. આમાં એને બિચારાને શું સમજણ પડે ? કેવી આ સંસારની ગતિ અને ગત કેવી છે એ એને શું સમજ પડે ? ખોટું કરતો હોય તેને પ્રત્યાખ્યાન લેવાનું હોય. ખોટું કરતો જ ના હોય, એને પ્રત્યાખ્યાન શેના લેવાનાં હોય ? પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ શા માટે ? દાદાશ્રી : ખોટું કરતો હોય તો પ્રતિક્રમણ, ખોટું કરતો હોય તો આલોચના, ખોટું કરતો હોય તો પ્રત્યાખ્યાન. આજે આ સાધુ-સાધ્વીજીઓ એ બધા અમને કહે છે, કે તમે પ્રત્યાખ્યાન નથી કરતા, પચ્ચખાણ લેતા નથી. અલ્યા, પચ્ચખાણ એનું નામ કહેવાય કે જે ગ્રહણ કરતો હોય તેનું પચ્ચખાણ લેવાનું હોય, ગ્રહણ ના કરતો હોય તો પચ્ચખાણ શું લે ? એટલે સાધુ-સાધ્વીઓ એ લોકો પચ્ચખાણ કરતા જ નથી. એ ત્યાગને પચ્ચખાણ કહે છે. ત્યાગને પચ્ચખાણ કહેવાય નહીં. પચ્ચખાણ તો જેનો ત્યાગ થયો નથી, તેનું પચ્ચખાણ હોય. પછી તે ત્યાગમાં પરિણામ પામે. પચ્ચખાણ શેનાં લેવાનાં છે એ ના સમજાયું તમને ? પ્રશ્નકર્તા : જે ગ્રહણ કર્યું છે, તેનાં ? દાદાશ્રી : ના. ના છોડવાનું છે તેમાં પચ્ચખાણ લેવાનાં છે. એ લોકો તો છોડ્યું છે એને પચ્ચખાણ કહે છે, અમે પચ્ચખાણ લીધાં છે. (પા.૬૫)જે છોડ્યું છે એને પચ્ચખાણ કહે છે. વ્રત તો વર્ત્યા જ કરે. આ અમને વ્રત વર્ત્યા જ કરે છે. જો અમને અહિંસા મહાવ્રત હોય, પછી સત્ય, પછી અચૌર્ય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલે બધાં વ્રત અમને વર્તતાં હોય. પરિગ્રહ તો અમને નામેય ના હોય. આ શરીરેય અમને પરિગ્રહ ના હોય. એટલે વ્રત એવુંતેવું ના હોય. એટલે અક્રમ માર્ગમાં આવી તેવી કોઈ ચીજ નહીં. વ્રત, નિયમ કશું જ ના હોય. આ બધું જ સંસારમાર્ગમાં હોય. આ બધાં વ્રત, જપ, તપ, ઉપધાન, નિયમો, આ બધુંય સંસાર માર્ગમાં છે. સંસારમાર્ગમાં એટલે પુણ્ય ભેગું કરવું. ભગવાને બે રસ્તા બતાવ્યા. એક પુણ્ય માર્ગ બતાવ્યો અને એક મોક્ષમાર્ગ બતાવ્યો. મોક્ષમાર્ગ એટલે શું કે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન અને આ ત્રણની સાથે જે ચાલ્યો એ મોક્ષે ગયા વગર રહે નહીં. પ્રશ્નકર્તા : એ પુણ્ય ભેગાં કર્યાં, એ આવતા ભવમાં સંયોગો સારા મળે એના માટે કામ આવેને ? દાદાશ્રી : એ પુણ્ય ભેગાં કર્યાં તે આવતા ભવમાં હેલ્પ કરે, બીજું શું કરે ? ન રહે ઇર્યાપથિકિ પ્રતિક્રમણક્રમિક માર્ગમાં ઇર્યાપથિકિ ક્રિયા પહેલા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું ? કે અહંકાર હોય ત્યાં સુધી ઇર્યાપથિકિ ક્રિયા હોય. એટલે ક્ષાયક સમકિત પછી ઇર્યાપથિકિ ક્રિયા હોતી જ નથી. ક્ષાયક સમકિત થયા પછી અહંકાર ખલાસ થયા પછી ઇર્યાપથિકિ ક્રિયા હોય નહીં. ઇર્યાપથિકિ ક્રિયા એટલે શું કે પોતે જે બહાર ગયો અને આવ્યો (પા.૬૬)એમાં જે જે દોષ થયા હોય, ત્યાં એનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું. અહંકાર ગયા પછી પેલાને ક્રિયા હોતી નથી. અહંકાર હોય ત્યાં સુધી કંઈકેય ક્રિયા હોય. ક્રમિક માર્ગ એટલે અહંકાર ઠેઠ સુધી. આમાં (અક્રમમાં) અહંકાર નહીંને ! તમને થોડું સમજાયું ? પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણ કરવું પડે પછી. દાદાશ્રી : તમારે ઇર્યાપથિકિનું પ્રતિક્રમણ કરવાનું નહીં. એ તો ક્રમિક માર્ગમાં કરવું પડે. અને જો અક્રમ માર્ગમાં તમે પ્રતિક્રમણ કરો તો તમે છે તે દેહના માલિક છો એમ પાછું પૂરવાર થઈ ગયું પછી. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : ‘તમે કરો’ તો શું થઈ જાય ? પ્રશ્નકર્તા : આ દેહના માલિક સમજીને જ પછી પ્રતિક્રમણ કરવાનું. દાદાશ્રી : એ પૂરવાર થઈ ગયું. પ્રશ્નકર્તા : પૂરવાર થયું એટલે વિરોધાભાસ થયું. દાદાશ્રી : એટલે તમારે કરવું હોય, તમારી પોતાની ઇચ્છા હોય તો ‘તમારે’ ‘ચંદુભાઈ’ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરી લો. આમ કહીએ આટલું. અને તમે મોટાં મોટાં પ્રતિક્રમણ કરજો. બહુ ઝીણી વાતમાં ઉતરશો નહીં. કારણ કે ઝીણી કરવા રહીએ તો મોટાં રહી જાય. રહી જાય કે ના રહી જાય ? પ્રશ્નકર્તા : રહી જાય. એ છે કરુણાજનકએવું છેને, અંતઃકરણ સમજે એ ભાષામાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. (પા.૬૭)એટલે આમાં આપણે નિંદા કરવા જેવું નથી. આ જે છે તે સારું છે. પણ છતાંય એ લોકોની દાનત તો સારી છે, દાનત ખોટી નથી. સાધુ-આચાર્યો કોઈનો દોષ છે એવું કહેવા નથી માગતો. આ સમજાયું નહીં તો કોઈ શું કરે ? એમનો ઈરાદો બહુ સાચો છે બિચારાનો, કે આપણે મહાવીરની આજ્ઞા પાળવી છે. તેય જેટલું પળાય એટલી, સમજણ પડે એટલું તો પાળવા તૈયાર જ છે કે નહીં, તે આપણે જોવાની જરૂર છે. પછી સમજણ ના પડે તો પછી મુખ્ય વાત એમની દાનત શું છે કે એમાં સોમાંથી અઠ્યાસી જણ પાળવા તૈયાર જ છે. પછી એ માર્ગ આપણાથી ખોટો તો કેમ કહેવાય ? પણ એ અઠ્યાસી જણને પોતાનો એકુય દોષ દેખાતો નથી. એમ મોટી મોટી વાતો કરે છે. ‘હા, જરાક ગુસ્સો છે ને એ છે !’ આવું બોલે, પણ દોષ છે એવું ના કહે. હિન્દુસ્તાનમાંથી કોઈથી એવું બોલાય નહીં કે મને મોક્ષ વર્તે છે. કારણ કે હમણે સળી કરેને તો ઉપાધિ. સળી કરે કે ફેણ માંડે. પછી મોક્ષ શાનો હોય ત્યાં આગળ ? અને આપણે અહીં તો બે ધોલ મારેને તોય કોઈ ફેણ કશું ના માંડે અને વખતે ફેણ મંડાઈ ગઈ, તો એનું પ્રતિક્રમણ કરે પાછું. અને બીજે ત્યાં તો પ્રતિક્રમણેય ના કરે ને કશુંય નહીં. પ્રતિક્રમણથી નિઃશેષતામોક્ષે તો ક્રેડીટ (જમા) અને ડેબીટ (ઉધાર) બન્ને ખાતાં પૂરાં થયાં તો જાય. ક્રેડીટ શેષ રહે તો અવતાર રહે. ડેબીટ શેષ રહે તો અવતાર લેવો પડે. પ્રશ્નકર્તા : કર્મની શેષ હોય છે કે ભાવની શેષ હોય છે ? દાદાશ્રી : કર્મની મા કોણ ? ભાવ. મા છે તો છોકરો છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ક્રેડીટ અને ડેબીટ બન્નેને નિઃશેષ કરવા માટે છે ? (પા.૬૮)દાદાશ્રી : હા, બેઉને માટે પ્રતિક્રમણ કરવાનું પણ ક્રેડીટનું યાદ ના રહેને. એટલે આ ક્રેડીટનું પ્રતિક્રમણ તો હંમેશાં કર્યા કરવાનું. તે પામ્યો મહાવીરનો માર્ગપણ અત્યારે બધું આવું ચાલ્યું આવ્યું છે અને બહુ વર્ષનું જૂનું થઈ ગયેલું છે. ૨૫૦૦ વર્ષ થઈ ગયાં. બહુ વર્ષ જૂનું થાય એટલે એવું જ થઈ જાય ને ! આટલું બાર મહિને કરે છે તે સારું છે ને ! બાર મહિને પ્રતિક્રમણ કરીએ તેથી દોષ કંઈ ઘટે નહીં. તું કેવાં પ્રતિક્રમણ કરે છે ? પ્રશ્નકર્તા : શૂટ ઑન સાઈટ. દાદાશ્રી : એવાં પ્રતિક્રમણ કરવાં પડે. હવે એ પ્રતિક્રમણ કરવા માટે જાગૃતિ જોઈએ. અને જાગૃતિ વગર શી રીતે થાય ? પોતાને ખબર જ ના પડે ત્યાં આગળ દોષ થયો છે. તે જ ઘડીવાર પછી ભૂલી જાય ને ! આ જાગૃતિ હોય નહીં એટલે પ્રતિક્રમણ થાય નહીં. એટલે અમે એને જાગૃતિની સ્થિતિમાં લાવીને મૂકીએ. તે નિરંતર જાગૃત થઈ જાય. પછી તે બધું શૂટ ઑન સાઈટ થાય. એક માણસના હાથમાં દોરો છૂટી ગયેલો હોય ને પતંગ એની પોતાની હોય, તે પછી પતંગ ગુલાંટ ખાય ને બૂમો મારે તો કશું વળે ? પ્રશ્નકર્તા : છૂટી ગયા પછી કંઈ ના વળે. દાદાશ્રી : એવી સ્થિતિ આજે મનુષ્યોની છે. તે જો દોરો તમારા હાથમાં પકડાવી આપે, પછી ગુલાંટ ખાય તો તમે ખેંચો એટલે પાછું ઠેકાણે આવી જાય, નહીં તો ત્યાં સુધી પોતાના હાથમાં પરિસ્થિતિ જ નથી કોઈ જાતની. મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો-સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. ‘સ્વરૂપનું જ્ઞાન’ તો હજી એની પછી ક્યાંય દૂર છે ! પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ (પા.૬૯)પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં ‘જ્ઞાન’ અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. અજ્ઞાન દશામાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : સાચાં પ્રતિક્રમણ કેવી રીતે કરવાં ? દાદાશ્રી : સાચાં પ્રતિક્રમણ તમને હું દ્રષ્ટિ આપું ત્યાર પછી કામના. કારણ કે જાગૃતિ આવ્યા વગર પ્રતિક્રમણ માણસથી થાય નહીં. અને જાગૃતિ જ્ઞાન આપ્યા વગર આવે નહીં. અને જ્ઞાન આપીએ ત્યારે જાગૃતિ નિરંતર રહ્યા કરે. આ તો હું તમને પ્રતિક્રમણનું કહીશ, સમજણ પાડીશ, તોય કાલે તમે પાછા ભૂલી જશો. હવે આપને જો તાત્કાલિક જ યાદ નથી આવતું તો સાંજે શું યાદ આવે તે ? આખો દહાડો મૂંઝાયેલો ને આખો દહાડો ગભરાયેલો, શી રીતે દોષ યાદ આવે ? જાગૃતિ જ ક્યાં છે ? બેભાનપણે ! અભાનતાથી ફરે છે. ‘હું કોણ છું’ એનું ભાન નથી, એટલે દોષ શી રીતે દેખાય ? દોષ દેખાય તો કલ્યાણ થાય. પ્રશ્નકર્તા : પણ જે માણસે જ્ઞાન ના લીધું હોય એ પ્રતિક્રમણ કરી શકે ? જેણે જ્ઞાન લીધેલું નથી એવા માણસોને આપણે પ્રતિક્રમણ ક્રિયા સમજાવીએ તો એને પરિણામ પામે ? દાદાશ્રી : ના થાય, થાય નહીં. જાગૃતિ ના રહેને ! જ્ઞાનથી બધાં પાપો ભસ્મીભૂત થાય એટલે જાગૃતિ ઉત્પન્ન થાય અને જાગૃતિ ઉત્પન્ન થાય તો આ બધું ખ્યાલ રહે. પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણનો ઈલાજ દરેકને આપી શકાય એમ નથી. દાદાશ્રી : થઈ શકે નહીંને ! બીજાને કામ લાગે નહીં. પણ આપણે કહીએ કે થોડું ઘણું થાય એટલું તો કરજે. થોડું ઘણું કરે તોય લાભ થાય એને. પણ એને જાગૃતિ રહે નહીંને ! જાગૃતિ કેમ કરીને (પા.૭૦)રહે ? પણ છેવટે થોડો ઘણો લાભ થાય, આ પ્રતિક્રમણ જાણતો હોય તો ! પણ આય ઈલાજને જાણતા જ નથી, તેને શું લાભ થાય ? એટલે આખું જગત જાગૃતિ નહીં હોવાથી બાર મહિને પર્યુષણ કરે છે. બિલકુલ જાગૃતિ નહીંને ! પ્રશ્નકર્તા : તમે કોઈ દિવસ સામાયિક કે કશું કરેલું ? દાદાશ્રી : અમે પ્રતિક્રમણ જ કરતા, કાયમ જ પ્રતિક્રમણ કરતા. પ્રશ્નકર્તા : આપને જ્ઞાન થયા પહેલાંની વાત પૂછું છું. દાદાશ્રી : એમાં તે દહાડે આવું નહીં. જ્ઞાન પહેલાંય અમે પ્રતિક્રમણ કરતા, એ કેવાં ? આ કર્મ ખોટું બંધાઈ રહ્યું છે એના પસ્તાવાપૂર્વકનાં પ્રતિક્રમણ; પણ એ સાચાં પ્રતિક્રમણ કહેવાય નહીં. જ્ઞાન પછી સાચાં પ્રતિક્રમણ થયેલાં. સમકિત થકી સાચાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ? દાદાશ્રી : સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યક્ત્વ થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મ દ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મ દ્રષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય. પ્રતિક્રમણ, પસ્તાવો કરવાથી કર્મો ઊડીય જાય ! કપડાં પર ચાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ? પ્રશ્નકર્તા : ડાઘ જતો રહે એટલા માટે. (પા.૭૧)દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. આ લોકો તરત ધોઈ નાખે છે. કંઈ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર ! તમે તો બાર મહિને એક દહાડો કરો, તે દહાડે બધાં લૂગડાં બોળી નાખે ! અમારું શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે કરો છો એને પ્રતિક્રમણ કહેવાય નહીં. કારણ કે કપડું એકુય ધોવાતું નથી તમારું. અને અમારાં તો બધાં ધોવાઈને ચોખ્ખા થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય. લૂગડાં રોજ એક-એક ધોવાં પડે. આ તો બાર મહિના થાય એટલે બાર મહિનાનાં બધાં લૂગડાં ધૂએ ! ભગવાનને ત્યાં તો એ ના ચાલે. આ લોકો બાર મહિને લૂગડાં બાફે છે કે નહીં ? આ તો એકે-એક ધોવું પડે. પાંચસો-પાંચસો લૂગડાં દરરોજનાં ધોવાશે ત્યારે કામ થશે. જેટલા દોષ દેખાય એટલા ઓછા થાય. હજી દોષો નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું. કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતો ? ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ રકમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે. (પા.૭૨)[4] અહો ! અહો ! એ જાગૃત દાદો !નિર્દોષ દ્રષ્ટિ છતાં બોલાય દોષિતઆ દુનિયામાં બધા નિર્દોષ છે પણ જો આવી વાણી નીકળે છે ને ! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એકુંય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. આપણે આવું બોલાતું હશે ? આપણે શું ફરજિયાત છે ? કોઈનુંય ના બોલાય. એની પાછળ તરત જ એનાં પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે. અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ પણ કુદરતમાં અમારી ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય. પ્રશ્નકર્તા : શુભ આશયથી વઢીએ તોય પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : શુભ આશયથી પુણ્ય બંધાય છે. જ્ઞાન ના હોય ને આના પર ક્રોધ કરો તોય પુણ્ય બંધાય. કારણ કે આશય પર છે. આ જગતમાં બધું આશયથી બંધાય છે. મારાથી ‘છે’ એને ‘નથી’ એમ ના કહેવાય અને ‘નથી’ એને ‘છે’ એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાક લોકોને દુઃખ થાય. જો ‘નથી’ એને હું ‘છે’ કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય. અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે ? એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ, આવું (પા.૭૩)બોલવાનું થાય તો ! કારણ કે પેલાને દુઃખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે અને હું કહું કે આ પીપળામાં ભૂત જેવી વસ્તુ નથી. એનું પેલાને દુઃખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હંમેશાં કરવું જ પડેને ! હું કોઈને દુઃખી કરવા માટે નથી આવ્યો. કોઈને દુઃખ થાય એને માટે અમે નથી આવ્યા. અમે તો સુખી કરવા માટે આવ્યા છીએ અને અજ્ઞાની અને જ્ઞાની બેઉ જણને સુખ આપી શકાય નહીં, માટે આ બાજુનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : ઘણીવાર અજ્ઞાન હોય છે, તે જ્ઞાનનો આંચળો ઓઢીને પ્રગટ થાય છે. દાદાશ્રી : અજ્ઞાન પ્રગટ થાય તો ટકે નહીં. એક સેકન્ડેય ટકે નહીં. અને આપણે અહીં તો બિલકુલ ટકે નહીં. કારણ કે આપણું જ્ઞાન કેવું છે ? ડિમાર્કેશનવાળું જ્ઞાન છે. આ અજ્ઞાન ને આ જ્ઞાન, બેની વચ્ચે ડિમાર્કેશનવાળું એટલે અહીં તો ચાલે જ નહીં ને કોઈપણ. પછી એને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે. વાળી લેવાય એટલું વાળી લઈએ પાછા કે ભઈ, અમારી ભૂલચૂક થઈ હોય તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ. દુઃખ તો મનુષ્યોને ન જ કરાય. તને એની અણસમજણ હોય, પણ એને મન તો એ સમજણ જ છેને ! આપણને એની અણસમજણ લાગે, પણ એને તો સમજણ જ માની બેઠો છે ને, એને દુઃખ કેમ થાય આપણાથી ? તો પ્રતિક્રમણ નહીંપ્રશ્નકર્તા : સામો માણસ ઉદયકર્મને આધીન વર્તે છે એવો ભાવ આપણને રહેતો હોય, તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર નહીંને ? દાદાશ્રી : એ સ્થિતિ સારી કહેવાય ને ! પણ પ્રતિક્રમણ તો આપણને એના પ્રત્યે ભાવ જો અવળો થયો હોય તો જ કરવાનું. (પા.૭૪)પ્રશ્નકર્તા : અને ન થયો હોય તો નહીં ને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : આપણે એને ખોટો માનતા જ નથી. દાદાશ્રી : તો પછી નહીં. જગત આખું નિર્દોષ છે. એક ક્ષણવાર પણ કોઈ જીવ દોષિત થયો નથી. આ જે દોષિત દેખાય છે તે આપણા દોષે કરીને દેખાય છે. અને દોષિત દેખાય છે એટલે જ કષાય કરે છે, નહીં તો કષાય જ ના કરે. એટલે દોષિત દેખાય છે એટલે ખોટું જ દેખાય છે. આંધળે આંધળા અથડાય છે, એના જેવી વાત છે આ. આંધળા માણસોમાં ટીચાય તો આપણે જાણીએ ને કે આ આંધળા લાગે છે એટલે. આટલા બધા અથડાય છે એનું શું કારણ ? દેખાતું નથી. બાકી જગતમાં કોઈ દોષિત છે જ નહીં. જે દોષ દેખાય છે તેથી કષાય ઊભા રહ્યા છે. સત્ય-અસત્ય સાપેક્ષપ્રશ્નકર્તા : સત્ય વાત હોય તો પછી એનું પ્રતિક્રમણ કેમ કરવાનું ? દાદાશ્રી : આ સત્ય એ જ અસત્ય છે. જે જે સત્ય છે, એ બધુંય અસત્ય છે. કઈ વાત સત્ય છે એ તમે કહો. કઈ વાત તમને સત્ય લાગે છે ? હું તમને કહી આપું કે એ અસત્ય છે. પ્રશ્નકર્તા : આપણે સાચું કહીએ, આપણે સામું કહી દઈએ તો એને ખરાબ લાગે તો પછી એનું પ્રતિક્રમણ કેમ ? દાદાશ્રી : સાચું કોઈ કહી શકતો નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો પાક્યો નથી કે જે સાચું કહી શકે. માણસ સાચું કેવી (પા.૭૫)રીતે કહી શકે ? એ તો સહુ સહુની સમજણથી સાચું છે. બીજાની સમજણથી ખોટું લાગે છે ને ? અમને કોઈ દોષિત દેખાતું જ નથી. આ વાણી નીકળે છે તેની જોડે પાછું પ્રતિક્રમણ હોય છે. એટલે ‘આમ ન હોવું જોઈએ’ એમ અભિપ્રાય જુદો હોય છે અમારો કે આવું છે નહીં. દેખાય છે કેવું ? નિર્દોષ દેખાય છે અને આ વાણી કેમ આવી નીકળે છે ? અવર્ણવાદ ના હોવો જોઈએ. અમારે તો મૌન રહેવું જોઈએ. હવે મૌન રહે તો તમે બધાં જાણો નહીં કે શું થયું, તે પણ સત્ય ના કહેવાય. આ સત્ય કહેવાય નહીં. શુદ્ધાત્મા કે સિવા સબ જૂઠાપ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો એનું શું કરવાનું ? દાદાશ્રી : આ જેટલાં સત્ય છે એ બધાં વ્યવહારિક સત્ય છે. એ બધાં જૂઠાં છે. વ્યવહારના પૂરતાં સત્ય છે. આ મોક્ષમાં જવું હોય તો બધાંય જૂઠાં છે. બધાનું પ્રતિક્રમણ કરવું પડે. ‘હું આચાર્ય છું’ એનુંય પણ પ્રતિક્રમણ કરવું પડશે. એટલે આ બધું જ જૂઠું છે, સબ જૂઠા. તને એવું સમજણ પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : પડે જ. દાદાશ્રી : સબ જૂઠા. બધા તો નહીં સમજવાથી કહે છે કે ‘હું સત્ય કહું છું.’ અરે, સત્ય કહે તો કોઈ સામો આઘાત જ ના હોય. એને સત્ય કહેવાય ?હું અહીં આગળ બોલું છું, એ કોઈ માણસ સામો અવાજ આપવા તૈયાર થાય છે ? વિવાદ હોય છે ? હું જે બોલ બોલ કરું છું એ બધા સાંભળ્યા જ કરે છેને ! વિવાદ નથી કરતાને ! એ સત્ય (પા.૭૬)છે. એ વાણી સત્ય છે અને સરસ્વતી છે અને જેની અથડામણ થાય એ તો ખોટી વાત, એક્ઝેક્ટલી ખોટી ! આમાં તો સામો કહે, અક્કલ વગરના, બોલ બોલ ના કરશો. એ પેલોય ખોટો ને આય ખોટો અને સાંભળનારાય ખોટા પાછા. સાંભળનારા કશું ના બોલે અને તે બધાય એ ટોળું આખું ખોટું ! પ્રશ્નકર્તા : પણ આપણા કર્મનો ઉદય એવો હોય, કે આપણે સામાને ખોટા જ લાગતા હોઈએ. આપણી વાત સત્ય હોય, એકદમ બરાબર હોય, આપણે કહીએ, ‘આ મેં નહોતું કર્યું’ છતાં કહેશે, ‘ના, તેં આમ જ કર્યું હતું’, તો એ આપણા કર્મનો ઉદયને ? તો જ એને ખોટું લાગ્યુંને ? દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી, જૂઠું જ બોલે છે. સાચું તો સામો માણસ કબૂલ કરે તે સાચું, નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલું સત્ય એ કંઈ લોકો સ્વીકાર ના કરે. એટલે ભગવાને કહ્યું કે સત્ય કોનું ? વીતરાગ વાણી હોય એનું ! વીતરાગ વાણી એટલે શું ? વાદી કબૂલ કરે, પ્રતિવાદી કબૂલ કરે, પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી. જૂઠી-લબાડી, જેલમાં ઘાલી દેવા જેવી, આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાં સત્ય ના હોય. તમને લાગે છે એમાં સત્ય હોય ? આ અમે અહીં વઢીએ ત્યારે આત્મા કબૂલ કરે. વિવાદ ના હોય. આ આપણામાં કોઈ દહાડો વિવાદ થયો છે ? કો’ક માણસ જરા કાચો પડી ગયો હશે, બાકી કોઈ વિવાદ થયો નથી. દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી પ્યૉર વાત, પ્રત્યક્ષ સરસ્વતી ! દેશના ! અને રાગી-દ્વેષી વાણીને સાચી કહેવાય ? પ્રશ્નકર્તા : ના કહેવાય. (પા.૭૭)દાદાશ્રી : ત્યારે તું કહું છું ને સત્ય ? પ્રશ્નકર્તા : વ્યવહાર સત્ય કહેવાયને એ તો ? દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે. વ્યવહાર સત્ય એટલે સામાને જો ફિટ થયું તો સત્ય અને ના ફિટ થયું તો અસત્ય. વ્યવહાર સત્ય એટલે ખરેખર સત્ય તો છે જ નહીં. પ્રશ્નકર્તા : આપણે સત્ય માનતા હોઈએ અને સામાને ફિટ ના થયું... દાદાશ્રી : એ બધું જૂઠું. બધું જ જૂઠું. ફિટ ના થયું એ જૂઠું. અમે હઉ કહીએ છીએને કો’કને, જેને અમારી વાત ના સમજાતી હોય તો એની ભૂલ નથી કાઢતા, અમારી ભૂલ કહીએ છીએ કે અમારી એવી કેવી ભૂલ રહી કે એમને વાત ન સમજાઈ. વાત સમજાવી જ જોઈએ. સામાને સમજણ ના પડી એમાં સામાનો દોષ કાઢતા જ નથી, અમે અમારો દોષ જોઈએ. મને એને સમજાવતાં આવડવું જોઈએ. એટલે સામાનો તો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે એ તો ભયંકર ભૂલ જ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી. કોઈ દહાડો લાગ્યોય નથી. આ તો અમને પૂછે એટલે જવાબ આપવો પડે ને પાછું અમારે પ્રતિક્રમણ કરવું પડે. હવે સત્ય તો પ્રતિક્રમણપૂર્વકનું જ કહેવાય છે હંમેશાં. પ્રતિક્રમણ ના હોય તો એ સત્ય સત્ય જ નથી. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે. એ વેણ કારુણ્ય ઝરણામાંથી...અમે તો દવા કરી નાખીએ ઝટ. અને પછી અમે તો વીતરાગ જ હોઈએ. અમને રાગ-દ્વેષ ના હોય. દવા કરવામાં તૈયાર. અને ભૂલેચૂકે એના તરફ સહેજ અભાવ થઈ જાય, આમ તો ના જ થાય, પણ વખતે થઈ જાય તો અમારી પાસે પ્રતિક્રમણની દવા હોય, એટલે (પા.૭૮)તરત જ દવા કરી નાખીએ. તરત જ પ્રતિક્રમણની દવા હોયને ! આ તો આ અવતારમાં હું મહારાજનું આવું બોલું છું. આખા જગતના તમામ ધર્મમાર્ગમાં જે બધા ઊંધું કરી રહ્યા છે, એ બધા માટે બોલું છું. જાણે કે આ ધર્મનો રાજા જ હું છું ! એવી રીતે લોકોનું બોલું છું. જાણે મારે જ લેવાદેવા છે ! પણ અમારે શું લેવાદેવા ? હું તો વન ઑફ ધી મેન ! અને આવું બોલાય નહીં પણ લોકો આનાથી છૂટવા જ જોઈએ ! એટલે આવું બોલીને પાપ વહોરેલાં છે. વખતે કંઈ ભોગવવાનાં હોય તોય પાપ મારે ભોગવવાં પડે. બીજું પાપ નથી કર્યું. અને બીજાં મારાં સ્વતંત્ર પાપ તો છે જ નહીં. કાયદો શું છે કે કોઈપણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો. પણ એ જ્ઞાન ના લઈ શકે એવા હોય, ઠંડા હોય, તો તમારે ધીમું મૂકવું, વીતરાગ થવું. પણ આની પાછળ એ કરુણા છે કે ‘આ અહીં સુધી આવ્યા છે તો પામો ને અલ્યા ! આ આટલો તાવ છે તે દવા નથી પીતા ! દવા તૈયાર છે.’ પણ તે કાયદેસર ના ગણાય. એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આપણે લેવાદેવા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાનાં પ્રતિક્રમણ કહ્યાં છે. નિર્દોષ દ્રષ્ટિ છતાં સદોષ વાણીહવે આ જે કહેવું પડે છે ને, કે આ વ્યાજબી નથી. એવું કહ્યું ત્યાં સ્યાદ્વાદ ચૂક્યો. છતાં વ્યાજબી પર ચઢાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે કે આય વ્યાજબી છે, પેલુંયે વ્યાજબી છે, ચોરે ચોરી કરી તેય વ્યાજબી છે, આનું ગજવું કપાયું તે ય વ્યાજબી છે. ભગવાન તો વીતરાગ. ડખોડખલ કરે નહીં ને ! ઘાલમેલ કરે નહીં ને ! અને અમારે તો ખટપટ બધી. અમારે ભાગે આ ખટપટ આવી. પ્રશ્નકર્તા : પણ એય અમારા રોગ કાઢવા માટે ને ? દાદાશ્રી : હા. તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો (પા.૭૯)છે ને અમારો હેતુ અમારી જાત માટે નથી, બધાને માટે છે. અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખીયે બદલાઈ ગયેલી છે. એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું આ. પ્રશ્નકર્તા : નિર્દોષ છે એમ સમજીને બોલો છો ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવાં પડે ? દાદાશ્રી : પણ ના બોલાય. શબ્દેય બોલાય નહીં. એવો વાંકો શબ્દેય કેમ બોલ્યા ? સામો તો છે જ નહીં, અહીં આગળ. સામાને દુઃખ થતું નથી. અને તમારે બધાને વાંધો નથી કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા ? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દેય ના હોવો જોઈએ. પ્રશ્નકર્તા : તમે તો છૂટા ને છૂટા જ રહો છો, બોલો ત્યારે પણ તો પછી શા માટે પ્રતિક્રમણ ? દાદાશ્રી : છૂટા છે, એટલે પ્રતિક્રમણ ‘મારે’ નહીં બોલવાનું. આ અંદરના અંદર, જે કરે ને, જે બોલેને, તેને જ કહેવાનું, ‘તમે પ્રતિક્રમણ કરી લો.’ અને તમારેય એવું જ છે. આ પ્રતિક્રમણ તે ‘તમારે’ નહીં કરવાનું, ‘ચંદુભાઈ’ને કહી દેવાનું. ‘તમારે’ પ્રતિક્રમણ કરવાનું હોય નહીં. જેણે અતિક્રમણ કર્યું ને, તેણે જ પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા : તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો ? દાદાશ્રી : પછી પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ, જ્ઞાન સંબંધી ના હોય. કોઈ સ્યાદ્વાદના વિરોધમાં જતો હોય એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદ્વાદ હોય ત્યારે કડકાઈ ના થાય, બિલકુલ સંપૂર્ણ સ્યાદ્વાદ ! આ તો સ્યાદ્વાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્યાદ્વાદ કહેવાય નહીં ને ! એટલે કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ સ્યાદ્વાદ ! (પા.૮૦)‘કેવળ દર્શન’ દેખાડે ભૂલઅમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સ્યાદ્વાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! ઝપટમાં લીધા સિવાય બોલે એ. વાત તો એ એવી જ બોલે, પણ ઝપટમાં લીધા સિવાય. પ્રશ્નકર્તા : આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તોય પણ એ દર્શન તો સંપૂર્ણ છેને કે ભૂલ સ્યાદ્વાદમાં થઈ ગઈ ? દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાનેય ખરું, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદ્વાદ ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલનીય તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમો તો સ્થૂળ ભૂલો જુઓ છો. મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએને કે અમારો દોષ હોય, છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાનો દેખાય. પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ? દાદાશ્રી : સ્યાદ્વાદ-અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ‘ફૂલ’ (પૂર્ણ) દર્શન છે, તેથી બધાને કહ્યું ને કે કેવળદર્શન આપું છું. અમારે પ્રતિક્રમણ કરવું પડે. અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓને આપણું એટલું ફરજિયાત છે. કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે ! બાકી કોઈનુંય ના બોલાય. આ દુનિયામાં બધાય નિર્દોષ છે, એવું જાણીએ છીએ. પણ કોઈનું બોલાય ? (પા.૮૧)પ્રશ્નકર્તા : ના બોલાય. દાદાશ્રી : એ જ વાણી નીકળે છેને, એની પાછળ તરત જ પાછું આનાં પ્રતિક્રમણ અમારાં ચાલ્યા કરે. એય જુઓને કેવી દુનિયા છે ! વાણી બોલે એની ઉપર જ અભિપ્રાય જુદો. કેવી આ જગત છે ? એ વાણી બોલે છે, તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી આ, આ ખોટું છે, આવું ન્હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે. એ એની સાથે જાગૃતિ કરીને ચાલે. બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે. ફક્ત અનુભવમાં નથી આવ્યું. તે અનુભવમાં કેમ નથી આવ્યું ? તો આ છે તે આ વાણી છે તે એ ડખલ કરે છે. પ્રશ્નકર્તા : ડખલ કરે છે છતાંય આપની તો સતત જાગૃતિ છે. દાદાશ્રી : નહીં, પણ જાગૃતિ છે, પણ આ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણપદ તો મળે નહીંને ! આ વાણી કેવી નીકળે છે ? આ જોશબંધ ! હવે આ વાણી ક્યારે ભરેલી ? કે જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી કે આ આ દોષિત આવા, આવું કેમ કરે છે ? આવું કેમ કરે છે ? આ આવું ના હોવું જોઈએ, જૈન ધર્મ આવો કેમ હોવો જોઈએ ? એ ભરેલું તે આજે નીકળે છે. ત્યારના અભિપ્રાય આજ નીકળે છે. અને આજ તે અભિપ્રાયથી અમે સહમત નથી. જ્ઞાનીનાં પ્રતિક્રમણોપ્રતિક્રમણ કર્યાં બધાં ? પ્રતિક્રમણ કરજે, નહીં તો ચોખ્ખું નહીં રહે. રોજ પ્રતિક્રમણ કરજે, દાદાની હાજરીમાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ! (પા.૮૨)પ્રશ્નકર્તા : આપણી ભાવના ના હોય એની વિરાધના કરવાની, તો પછી પ્રતિક્રમણ કરવાં જોઈએ ? આપણે તો જે સાચી વાત છે એ જ કહીએ છીએને ? દાદાશ્રી : એવું છે ને અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય. બોલીએ ને સાથે જ. પ્રશ્નકર્તા : પણ જે સાચી વાત છે એ કહેતા હતા એમાં શું પ્રતિક્રમણ કરવાનાં ? દાદાશ્રી : ના, પણ તોય પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને. કોઈનો ગુનો તેં કેમ દીઠો ? નિર્દોષ છે તોય દોષ કેમ જોયો ? નિર્દોષ છે તોય એનું વગોવણું તો થયું ને ? વગોવણું થાય, એવી સાચી વાત પણ ના બોલાય, સાચી વાત એ ગુનો છે. સાચી વાત સંસારમાં બોલવી એ ગુનો છે. સાચી વાત હિંસક ના હોવી જોઈએ. આ હિંસક વાત કહેવાય. અમારે તરત પ્રતિક્રમણ કરવાના. અમે સાધુ-આચાર્યો બધાને નિર્દોષ જોયેલા છે. અમારે માટે દોષિત એકુય છે નહીં અને દોષિત જે બોલાય છે, તેમાંય કોઈ દોષિત અમને દેખાતો જ નથી. પણ તે દોષિત બોલાય ખરું, એટલું છે ને અમારે એની પાછળ પ્રતિક્રમણ હોય છે તરત. એટલી અમારી આ ચાર ડિગ્રી ઓછી છેને, તેનું આ ફળ છે. બાકી નહીં તો સંપૂર્ણ વીતરાગતા વર્તે છે. અને તમારે તો બહુ જ પ્રતિક્રમણ કરવાં પડશે. હું બોલું ને, પણ અમારી જાગૃતિ રહે અને તમારાથી બોલાય નહીં આવું. જાગૃતિ હોવી જોઈએને. મોઢેથી બોલાય નહીં. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના કરો તો પછી શું થાય ? દોષ લાગે ? દાદાશ્રી : એ દાવા કરી આપે. આપણી પર કોર્ટમાં સો દાવા માંડ્યા હોય લોકોએ. એનું નિકાલ ના કરીએ તો શું થાય ? દાવા ઊભા જ રહ્યા, એટલે પ્રતિક્રમણ ના કરે ત્યાં સુધી દાવા ઊભા રહ્યા. (પા.૮૩)આત્મજ્ઞાન પછી જળકમળવત્પ્રશ્નકર્તા : બાકી ‘આ’ જ્ઞાન લીધા પછી જળકમળવત્ રહી શકાય છે. દાદાશ્રી : હા. જળકમળવત્ જ રહે. આ માર્ગ જ જળકમળવત્નો છે. એવું કેટલાં વર્ષ તમે રહી શક્યા ? તમને કેટલાં વર્ષ જ્ઞાન લીધે થયાં ? પ્રશ્નકર્તા : એક વર્ષ પૂરું થશે. દાદાશ્રી : તો આવું દસ વર્ષ થશે ત્યારે શું દશા થશે ? જ્યારે પહેલાં વર્ષમાં આ જોર કરે છે આટલું, તો દસ વર્ષ થાય ત્યારે શી દશા આવે ? અને એ જગતમાં લોકો બધા બોલે, હિમાલયમાં, હે જળકમળવત્ રહીએ છીએ. તો એ રહી શકે નહીં. એ બધી વાતો છે, કલ્પનાઓ બધી ! કલ્પનાનાં જાળાં !! અને એ કહેતા હોય અમે જળકમળવત્ રહીએ છીએ, તો એ જતા હોય તે તમે મને કહો કે આ જળકમળવત્ રહે છે, તો હું એમને કહું કે મહારાજ તમારામાં અક્કલ છાંટોય નથી. તો જળકમળવત્ ખબર પડી જાય, હડહડાટ ! કોઈ મહારાજને એવું કહેવાય નહીં. ખોટું કોઈનું અપમાન કરવું, એ ગુનો કહેવાય એટલે પછી મહારાજને હું બસ્સો એક રૂપિયા આપી દઉં, એ બસ્સો એ ના માનતા હોય ત્યારે શું કહું ? કે મગજ જરા એવું છે, બ્રધર (ભાઈ) જોડે ઝઘડો થઈ ગયો છે. ત્યારે કહેશે, હા, મગજ એનું જરા એવું જ છે. પછી પાછો મારે માથે હાથ હઉં મૂકે ! આ ભમરડાઓને મૂરખ બનાવવાના એમાં શું વાર છે ? નર્યા ભમરડા ! કારણ કે જેને હારી જતાં આવડે, ત્યાં ભમરડા કેટલું જીતે ? જેને હારી જતાં આવડ્યું, એ કળા આવડી, ત્યાં ભમરડો કેટલું કૂદે ?! આ ભમરડા કોણ ? આપણે માણસને નથી કહેતાં. જેને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પ્રકૃતિ પરાણે નચાવે છે અને પોતે નાચે છે અને પાછા કહે છે, ‘હું નાચ્યો’. એને ભમરડા કહીએ છીએ. કૃષ્ણ ભગવાને (પા.૮૪)કહ્યું છે તેને જ કહીએ છીએ. આને બીજા શબ્દોમાં ભમરડા કહેવાય. ત્યારે ભમરડા કોઈ કહે નહીં. આવું ખોટું લાગે એવું કોણ કહે ? મને તો પ્રતિક્રમણ આવડે એટલે કહું. હું તો બોલુંય ખરો અને દવા ફાકુંય ખરો. પણ ઊંધી વાત નીકળી જવી જોઈએ જગતમાંથી ! ઊંધાને જ પ્રોત્સાહન મળ્યું છે એ ઊડી જવું જોઈએ. પછી પ્રતિક્રમણ કરે તો વાંધો આવે ખરો ? પણ પ્રોત્સાહન તો ઊડી જાય. આપણે ‘અક્કલ નથી’ કહીએ એટલે જળકમળવત્ ઊડી જાયને ? જળેય ઊડી જાય ને કમળેય ઊડી જાય. હવે લોક શું કહે છે ? આપણે પરીક્ષા કરોને મહિના સુધી. અલ્યા મૂઆ, ના થાય આમાં, પરીક્ષામાં તો તું ગાંડો થઈ જઈશ. એટલે રૂપિયો તરત ખખડાવી જુઓને, બોદો છે કે કલદાર છે ? ખબર પડી જાય. પછી બસ્સો રૂપિયાનો ખર્ચ એની પાછળ આપો ! અને બસ્સો રૂપિયામાં ના માને તે એવાય હોય છે પાછા, ત્યારે આપણે કહેવું કે મગજ જરા એવું છે, જરા ચસકેલું છે. એટલે ખુશ, નહીં તો કોઈ સારો માણસ તો આપણને કહે જ નહીં. આ તો ચસકેલું છે એટલે કહે છે આ. ન્યાય કરતાં એને આવડે ને ? પણ જો આપણને તો માલમ પડી ગયુંને ? આપણે જે જોઈતું હતું કે આ જળમાં છે કે કમળમાં છે એ બેઉ ઊડી ગયુંને ? એટલે આપણે દુકાનમાં બેસતા બંધ થઈ જઈએને ? એટલે વાંધો આવે ખરો એમાં ? આવી પરીક્ષા કરવાની કોઈ શીખવાડે નહીં. લોકો શું જાણે કે મારી પર કરે તો ? અને હું તો મારી પર કરે તો ખુશ છું, કરીને જો ડાહ્યા થતા હોય તોય સારું. પણ પરીક્ષા વગરના બોદા, ક્યાં સુધી ઘરમાં રાખી મેલશો ? બહાર લેવા જઈએ તો જલેબીનો એક કકડોય ના આવે. આટલો જ છે મોક્ષમાર્ગઆલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોક્ષમાર્ગ. આપણા (પા.૮૫)મહાત્માઓ શું કરે છે ? આખો દહાડો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જ કર્યા કરે છે. હવે એમને કહેશે કે ‘તમે આ બાજુ હેંડો, વ્રત, નિયમ કરો.’ તો કહેશે, ‘અમારે શું કરવા છે વ્રત, નિયમને ? અમારે મહીં ઠંડક છે, અમને ચિંતા નથી. નિરુપાધિ રહે છે. નિરંતર સમાધિમાં રહેવાય. પછી શા માટે ?’ એ કકળાટ કહેવાય. ઉપધાન તપ ને ફલાણા તપ. એ તો ગૂંચાયેલા માણસો કરે બધા. જેને જરૂરિયાત હોય, શોખ હોય. તેથી અમે કહીએ છીએ કે આ તપ એ તો શોખીન લોકોનું કામ છે. સંસારના શોખીન હોય એણે તપ કરવાં જોઈએ. પ્રશ્નકર્તા : પણ એવી માન્યતા હોય કે તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. દાદાશ્રી : કોઈ દહાડો એવું થાય નહિ. કયા તપથી નિર્જરા થાય ? આંતરિક તપ જોઈએ. અદીઠ તપ, જે આપણે કહીએ છીએને કે આ બધા આપણા મહાત્માઓ અદીઠ તપ કરે છે, જે તપ આંખે દેખાય નહીં. અને આંખે દેખાતાં તપ અને જાણ્યામાં આવતાં તપ એ બધાનું ફળ પુણ્ય અને અદીઠ તપ એટલે અંદરનું તપ આંતરિક તપ, બહાર ના દેખાય એ બધાનું ફળ મોક્ષ. એટલે આપણાં લોકોના મનમાં એમ થાય કે અરે ! વ્રત, નિયમ તો આપણે કરતા નથી. વ્રત, નિયમ મોક્ષમાર્ગ માટે નથી આ. નિયમ-બિયમ જેને સંસારમાં ભટકવું છે, એને માટે નિયમ છે. જેને મોક્ષે જવું હોયને તો આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનની ગાડીમાં બેસી જ જવાનું હડહડાટ. નિરંતર ચોવીસેય કલાક એ જ કર્યા કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. ખમાવો સઘળા કષાયોઆ સાધ્વીજીઓએ શું કરવું જોઈએ ? આ સાધ્વીજીઓ જાણે છે કે મને કષાય થાય છે, આખો દહાડો કષાય થાય છે. તો એમણે શું કરવું જોઈએ ? સાંજે બેસી અને એક ગુંઠાણું આખું, આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ (પા.૮૬)થયો,’ એમ બેસીને એની જોડે પાછાં પ્રતિક્રમણ કરે એ, એની જોડે જ, આમ ધારી ધારીને, અને પાછું પ્રત્યાખ્યાન કરે, કે આવું નહીં કરું, આવું નહીં કરું, તો એ મોક્ષમાર્ગ ઉપર ચાલે છે. એવું તો કશું કરતા નથી એ બિચારાં, એટલે શું થાય ? આમ મોક્ષમાર્ગ સમજે તો હેંડેને, સમજવાની જરૂર છે. પ્રશ્નકર્તા : જ્યાં સુધી એમને પ્રત્યક્ષ ન ખમાવે ત્યાં સુધી એમનામાં ડંખ તો રહે જ ને ? એટલે પ્રત્યક્ષ તો ખમાવવું જ પડે ને ? દાદાશ્રી : પ્રત્યક્ષ ખમાવવાની જરૂર જ નથી. ભગવાને ના પાડી છે. પ્રત્યક્ષ તો તમે ખમાવવા જજો, જો સારો માણસ હોય તો, એને ખમાવજો અને નબળો માણસ હોય તો ખમાવશો તો માથામાં ટપલી મારશે. અને નબળો માણસ વધારે નબળો થશે. માટે પ્રત્યક્ષ ના કરશો અને પ્રત્યક્ષ કરવાં હોય તો બહુ સારો માણસ હોય તો કરજો. નબળો તો ઉપરથી મારે. અને જગત આખું નબળું જ છે. ઉપરથી ટપલી મારશે, ‘હેં, હું કહેતી’તી ને, તું સમજતી નહોતી. માનતી નહોતી, હવે ઠેકાણે આવી.’ અલ્યા મૂઆ, એ ઠેકાણે જ છે, એ બગડી નથી. તું બગડી છે એ સુધરી છે, સુધરે છે. આવું ખબર ના પડે. બિચારાને ભાન ના હોયને ! એક સહેજ જ જો ભાન હોયને, એની વાત જ જુદી હોય. એક જરાય ભાન નથી, આટલુંય ભાન નથી. ક્રિયાકાંડથી નથી મોક્ષમાર્ગમોક્ષમાર્ગ એટલે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. એનું નામ જ મોક્ષમાર્ગ. પોતાના ગુનાઓ જાહેર કરવા. પછી તે ખોટું છે એમ પશ્ચાત્તાપ કરવો, અને ફરી નહીં કરું એવું નક્કી કરવું. એવો આ મોક્ષમાર્ગ આપણો. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં (પા.૮૭)ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડને એવું બધું ના હોય ને ! ક્રિયાકાંડ તમને સમજ પડીને ? શેના માટે ? ભૌતિક સુખોને માટે, એટલે ભગવાને કહેલું કે જેને ભૌતિક સુખો જોઈતાં હોય તે આ તપ કરજો, અને તેથી તમને ભૌતિક સુખો, દેવગતિનાં સુખો પ્રાપ્ત થશે. સંસારનાં સુખો પ્રાપ્ત થશે, પણ તમારે એ સુખો ના ખપતાં હોય, તો આપણો મોક્ષમાર્ગ છે. અને પછી ત્યાં આગળ લોકો કહેશે ત્યાં ક્રિયાઓ કેમ નથી ? ભઈ, અમારે તો ક્રિયાની લાઈન નહીંને, અમારે ધંધો નહીં, બિઝનેસ નહીંને. અને એ ખોટું બોલે, એ અવળું બોલે એમાં એનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન બોલે છે. અને તમે પણ કર્મના ઉદયના આધીન બોલો પણ તમે તેના જાણકાર હોવા જોઈએ કે આ ખોટું બોલાઈ રહ્યું છે. અને એ પુરુષાર્થ છે. પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિ શું કરી રહી છે એને જાણવી જોઈએ અને પ્રકૃતિ જ્યારે કશું નહીં કરે, તે દહાડે તમારી ૩૬૦ ડિગ્રી થઈ ગઈ હશે. પછી કંઈ પણ, સહેજ પણ, હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાય અવતારથી અમારી આ લાઈન, કેટલાય અવતારથી આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતાં કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ. તેથી તીર્થંકર ભગવાનોએ કહેલું કે અનંત અવતાર ગયા પછી, સમકિત થયા પછી યે, અમુક ભાગનો વ્યવહાર સમકિત થયા પછી તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. તો બોલો હવે, કેટલાં બધાં આયુષ્ય કપાઈ ગયાં તે ! અર્ધપુદ્ગલમાં આવ્યો તોય ઘણું આયુષ્ય કપાઈ ગયું. પ્રશ્નકર્તા : લિમિટમાં આવી ગયો. (પા.૮૮)દાદાશ્રી : હા, લિમિટમાં આવી ગયો, તેમાંથી પાછો ઊગે. ભગવાનને સત્તાવીસ અવતાર થયા હતા, સમકિત થયા પછી. પણ લિમિટમાં આવી ગયું, એવું ભગવાને કહેલું. બે જ વસ્તુનો ધર્મકષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવાં એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય તેનાં પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધા લોકોએ કાઢી નાખી છે ! હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, ‘મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?’ એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય ! હવે આવું ધર્મધ્યાન અને આવાં પ્રતિક્રમણ તો બીજે ક્યાંયે અત્યારે તો રહ્યાં નથી ને ! પછી હવે શું થાય ? નહીં તોયે રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે ? જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તોય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું ! મતાગ્રહ એ અતિક્રમણ ?અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો આનો ‘લૉ’ (કાયદો). એ પ્રતિક્રમણ આ શાસ્ત્રોમાં (પા.૮૯)રહ્યું નથી. એટલે આ બધું બંધ થઈ ગયું છે. એ લોકો પ્રતિક્રમણ જેને કહે છે એ બધી જડ ક્રિયા છે, જેનાથી એક પણ દોષનો નાશ ના થાય. અને છતાં દોષ નાશ કરવાની વાતો કરે અને બોલે એમાં કશું વળે નહીં. પ્રશ્નકર્તા : મતાગ્રહ એ અતિક્રમણ કહેવાય ને ? દાદાશ્રી : મતાગ્રહ એ મોટામાં મોટું અતિક્રમણ. એના પોઈઝનથી તો આ હિન્દુસ્તાન મરી રહ્યું છે. અત્યારે આ મોટામાં મોટું પોઈઝન છે. દરેક લોકોએ આ પોઈઝન એટલું બધું ઊભું કર્યું છે. મૂળ તો અમે મહાવીરના જપ્રશ્નકર્તા : આપની વાણીમાં જૈનધર્મના પારિભાષિક શબ્દો બહુ આવે છે. દાદાશ્રી : આ તો જ્ઞાન જ બધું પ્રગટ થઈ ગયેલું છે. એમને એમ શબ્દો નીકળ્યા જ કરે. અને છેવટે મૂળ તો અમે ભગવાન મહાવીરના જ ને ! બીજું ગમે નહીં. બીજી વાત કોઈની ગમે નહીં. અમે વૈજ્ઞાનિકની વાત માનવા તૈયાર છીએ. ભગવાન મહાવીર વૈજ્ઞાનિક કહેવાય. અમે પણ વૈજ્ઞાનિક કહેવાઈએ. દુષમકાળમાં ભગવાન મહાવીરે શું આજ્ઞા કરી છે ? આજ્ઞા પ્રમાણે વર્તવાનું કહ્યું છે ને આજ્ઞા પ્રમાણે ના વર્તાય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. (પા.૯૦)[5] અક્રમ વિજ્ઞાનની રીતિઅક્રમથી નવો યથાર્થ ધર્મહવે ધર્મ તો કેવો છે ? પોઝીટિવ અહંકારમાં ધર્મ આવી જાય. આ તો બધાં શાસ્ત્રો શું કહે છે, ‘દયા પાળ, સત્ય બોલ, ચોરી ના કર.’ અલ્યા, થાય છે એવું જ ને ! એટલે આ લોકોએ પુસ્તક ઊંચા મૂકી દીધાં. લોકોએ શું કર્યું કે આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે થતું નથી માટે આ પુસ્તક કામનાં નથી. દયા પળાતી નથી, સત્ય બોલાતું નથી. આ પુસ્તકે તો એવું જ લખ લખ કર્યું છે ને ! એટલે લોકોએ અભરાઈ પર ચઢાવી દીધાં. શાસ્ત્રોમાં શું કહે છે ? ‘ચોરી ના કરશો, જૂઠું ના બોલશો, લુચ્ચાઈ ના કરશો.’ તો કરીએ શું ? એ કહેને અમને પાછું. એ ના કરીએ તો શું કરીએ ? પેલો ટિકિટ ના આપતો હોય તો કાળાબજારની લેવી ના પડે, આપણે જવું હોય તો ? હવે આ શાસ્ત્ર કહે છે, એવું કરશો નહીં. ત્યારે અમને તો સૂરસાગરમાં ડૂબવા જેવું જ થાય પછી ! જગત પરિણામ ફેરવવા માંગે છે. હવે એ પરિણામ શી રીતે ફરશે, જ્યાં બધા જ ફરી ગયા છે ! એ તો પહેલાં સેકડે પાંચ ટકા હોય ત્યારે લોકો કહેતા હતા કે, ‘ભાઈ, આપણે આચાર શુદ્ધ કરો, આચાર શુદ્ધ કરો.’ આ તો પંચાણું ટકા આચાર બધા બગડી ગયા છે તેનું શું થાય તે ? જ્યાં આચારની નાદારી નીકળી છે, ત્યાં ! તે આપણે આ નવી શોધખોળ કરી છે ! અને તેય ખરેખર જે ‘ડિસ્ચાર્જ’ છે એને ‘ચાર્જ’ માને છે. તે આપણે કાઢી નંખાવ્યું કે ભઈ, તમે ‘ડિસ્ચાર્જ’ને (પા.૯૧)‘ચાર્જ’ માનીને શું અર્થ છે ? મિનીંગલેસ (અર્થ વગરની) વાત. આચાર વચ્ચે ધર્મમાં આવતો જ નથી. જો તમે ‘આચાર હું કરું છું’ એમ કહેશો તો આચાર ફરી ઊભો થશે. એટલે ધર્મ ઊભો થશે. પણ શુદ્ધતા નહીં આવે. શુદ્ધતા ‘ડિસ્ચાર્જ’માં નહીં આવે. એટલે કાળને અનુરૂપ જ્ઞાન આપો ! આપણે એવી વાત કરીએ કે પહેલાં બાર આને મણ બાજરી મળતી હતી. એવી વાતો મોટું લાઉડ સ્પીકર લઈને બોલ બોલ કરીએ કે આપણા દેશમાં તો ઘણો મોલ હોય છે, બાર આને મણ બાજરી મળતી હતી. ફરી બાર આને મણ બાજરી મળશે ! ત્યારે લોક શું કહેશે, અલ્યા, એવી વાત ના કરીશ. આ કાળને અનુરૂપ વાત નથી. આ બધાં શાસ્ત્રો કાળને અનુરૂપ નથી. માંગો પ્રતિક્રમણ કરવાની શક્તિઆપણું અક્રમ શું કહે છે ? એને પૂછીએ કે, ‘તું બહુ દહાડાથી ચોરી કરું છું ?’ ત્યારે એ કહે, ‘હા.’ પ્રેમથી પૂછીએ, તો બધું કહે, ‘કેટલું, કેટલા વર્ષથી કરું છું ?’ ત્યારે એ કહે, ‘બે-એક વર્ષથી કરું છું.’ પછી અમે કહીએ, ‘ચોરી કરું છું તેનો વાંધો નથી.’ એને માથે હાથ ફેરવીએ. ‘પણ પ્રતિક્રમણ કરજે આટલું.’ શું શીખવાડીએ ? પ્રશ્નકર્તા : આટલું પ્રતિક્રમણ કરજે. દાદાશ્રી : ત્યારે એ કહે, ‘કેવી રીતે ?’ તે હું કહું ‘આવી રીતે.’ એટલે એને આશ્વાસન મળ્યું કે ઓહોહો ! બધા મને તિરસ્કાર કરતા હતા. અને આ પ્રેમ દેખાડે છે. જે પ્રતિક્રમણ કર્યું, તે ચોરી આખી ભૂંસાઈ ગઈ. અભિપ્રાય બદલાયો. આ જે કરી રહ્યો છે તેમાં પોતાનો અભિપ્રાય એક્સેપ્ટ કરતો નથી. નોટ હીઝ ઓપીનિયન ! તમને શેઠ સમજાઈ આ મારી વાત ? એટલે હું શું કહું છું ? ભલે તેં ચોરી કરી, મને તેનો વાંધો નથી. આ ૧૫-૧૬ વર્ષનો છોકરો હોય અને બે-ચાર વખત ચોરીઓ કરી હોય, તો આપણે એને કહીએ કે ‘તેં ચોરી કરી તેનો વાંધો નથી, પણ (પા.૯૨)હવે તું આવું કરજે એટલે જોખમદારી ના આવે.’ ત્યારે કહે, ‘હું શું કરું ?’ દાદાનું નામ લઈ અને પછી પસ્તાવો કરજે. હવે ફરી નહીં કરું, ચોરી કરી એ ખોટું કર્યું છે. અને હવે એવું ફરી નહીં કરું એવું એને શીખવાડીએ ! એવું એને શીખવાડ્યા પછી પાછાં એનાં માબાપ શું કહે છે ? ‘ફરી ચોરી કરી પાછી ?’ અલ્યા, ફરી ચોરી કરે તોય પણ એવું બોલવાનું, એ બોલવાથી શું થાય છે, એ હું જાણું છું. આ છૂટકો નથી. એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે, તો એ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર. હવે આ ક્રમિક માર્ગમાં એવું છે નહીં સુધારવાનું. એ તો કહે, ‘મારી ઠોકીને એને સુધારો’, અલ્યા ના સુધરે. આ તો પ્રકૃતિ છે. કઢીમાં મીઠું વધારે પડ્યું હોય તો તે કાઢી લેવાય કોઈ પણ રસ્તે. કઢીને માટે બધા પ્રયોગો છે. પણ આનો ઉપાય આ કરવો પડે. એટલે આ ઉપાયથી ઘણા લોકોને ફાયદા થયા. તેં ચોરી કરી તેનો વાંધો નથી. તું આમ કરે તેના કરતાં આ રીતે કરજે. તો એ જાણે કે મારો ગુનો ગણતા નથી. એનો અહંકાર ન ઘવાય. અને નહીં તો પેલો તો અહંકાર ઘવાય. મેં એટલે સુધી જોયાં છે કે જે છોકરાને મારનારો એનો બાપ હોય છે, તે પેલો છોકરો અંદરખાને ભાવ કરે છે, કે હું મોટો થઈશ ત્યારે બાપાને માર્યા વગર છોડીશ નહીં.’ અલ્યા, તું આ ચોરીથી છોડાવવા ફર્યો ને ઊલટું આ વેર બાંધ્યું. ના મરાય. ખાલી અમથી બીકથી જ માણસને સુધારવો એ તો રસ્તો જ ન્હોય. બીક તો એક આંખ કોઈ દહાડો કાઢીએ તો ઠીક છે. તેય અવળા સ્વભાવનો છોકરો હોય તો ના કરાય ! આપણામાં કહેવત છે કે કાળો થઈને કોટડીમાં હાથ ઘાલે છે, ત્યારે આંખ દેખાડવી પડે. એટલે ક્યાં ક્યાં આંખ કાઢવી, ક્યાં કેવી રીતે વર્તવું, એનો વિવેક ને સદ્વિવેક કહ્યો. તે સદ્વિવેક તો છે જ નહીં અને લોકો કહે છે કે સદ્વિવેક કરો. (પા.૯૩)ન મીટે દર્દ બિન દવાએટલે કોઈ અમને કહે, ‘મેં તો ચોરીનો ધંધો માંડ્યો છે તો હવે હું શું કરું ?’ ત્યારે હું એને કહું કે, ‘તું કરજે, મને વાંધો નથી. પણ એની જવાબદારી આવી આવે છે. તને જો એ જોખમદારી સહન થાય તો તું ચોરી કરજે. અમને વાંધો નથી.’ તો એ કહે કે, ‘સાહેબ એમાં તમે શું ઉપકાર કર્યો ? જવાબદારી તો મારે આવવાની જ છે.’ ત્યારે હું કહું કે મારા ઉપકાર તરીકે હું તને કહી દઉં કે તું ‘દાદા’ના નામનું પ્રતિક્રમણ કરજે કે મહાવીર ભગવાનના નામનું પ્રતિક્રમણ કરજે કે ‘હે ભગવાન, મારે આ ધંધો નથી કરવો છતાં કરવો પડે છે. તેની હું ક્ષમા માગું છું’, એમ ક્ષમા માંગ માંગ કરજે અને ધંધોય કર્યા કરજે. જાણીબૂઝીને ના કરીશ. જ્યારે તને મહીં ઇચ્છા થાય કે ‘હવે ધંધો નથી કરવો’ તો ત્યાર પછી તું બંધ કરી દેજે. તારી ઇચ્છા છેને, ધંધો બંધ કરવાની ? છતાં પણ એની મેળે અંદરથી ધક્કો વાગે ને કરવો પડે, તો ભગવાનની માફી માગજે. બસ એટલું જ ! બીજું કરવાનું નથી. ચોરને એમ ના કહેવાય કે ‘કાલથી ધંધો બંધ કરી દેજે.’ એમાં કશું વળે નહીં. કશું ચાલે જ નહીંને ! ‘આમ છોડી દો, તેમ છોડી દો’ એવું કશું કહેવાય નહીં. અમે કશું છોડવાનું કહીએ જ નહીં, આ પાંચમા આરામાં છોડવાનું કહેવા જેવું જ નથી. તેમ એમેય કહેવા જેવું નથી કે આ ગ્રહણ કરજે. કારણ કે છોડ્યું છૂટે એવું નથી. હા, નહીં તો પછી બૂમ પાડે કે ‘કરવું છે, પણ થતું નથી, ઉપવાસ કરવો છે, પણ થતો નથી.’ અલ્યા, આવું શું કરવા ગા ગા કરે છે ? એના કરતાં ભગવાનની માફી માગને ! ‘હે ભગવાન ! ઉપવાસ તો કરવો હતો પણ થતો નથી, એની માફી માગું છું.’ પણ આ તો ‘થતું નથી, થતું નથી’ આવું ગાયા કરે છે. ‘થતું નથી, થતું નથી.’ એવું બોલાય જ નહીં. એવો કંઈ કાયદો છે કે તમારે એવું બોલવું જોઈએ ? એ અહંકાર છે એક જાતનો. ના થતું હોય તો તમારે એમ ગા ગા કરવાની જરૂર નથી. પણ શા હારુ ગાય છે ? એનો અહંકાર બતાવે છે. (પા.૯૪)આ વિજ્ઞાન તદ્દન અજાણ્યું લાગે છે લોકોને. સાંભળેલું નહીં, જોયેલું નહીં, જાણેલું નહીં ! અત્યાર સુધી તો લોકોએ શું કહ્યું ? કે ‘આ ખોટાં કર્મ છોડો અને સારાં કર્મ કરો.’ તેમાં છોડવાની શક્તિ નથી. અને બાંધવાની શક્તિ નથી ને અમથા ગા ગા કર્યા કરે છે કે, ‘તમે કરો’ ત્યારે પેલો કહે છે કે, ‘મારે થતું નથી, મારે સત્ય બોલવું છે પણ થતું નથી.’ ત્યારે અમે નવું વિજ્ઞાન કાઢ્યું. ‘ભઈ, અસત્ય બોલવાનો વાંધો નથીને, તને ? એ તો ફાવશેને ? હવે અસત્ય બોલીશ તો તું આવું કરજે, એનું પછી આવી રીતે પ્રતિક્રમણ કરજે.’ તું ચોરી કરે તો તેનો અમને વાંધો નથી પણ એનું પ્રતિક્રમણ કરજે.’ અને પેલા લોકો કહે છે, ‘ના, ચોરી બંધ કરી દે.’ શી રીતે બંધ થાય આ ? બંધકોશ થઈ ગયો હોય તેને જુલાબ કરવો હોય તો દવા આપવી પડે, જેને ઝાડા થઈ ગયા હોય તેને બંધ કરવું હોય તો દવા આપવી પડે ! આ તે એમને એમ કંઈ ચાલે એવું છે જગત ? બાપ જાણે કે ‘આ છોકરો ચોરી કરી રહ્યો છે તે બંધ કરવી હોય તો કરી શકાય. એ બંધ કરે તો થઈ જાય.’ લેને, તું તારા જ બંધ કરને ! તારા જે દોષો હોય તે બંધ કર.’ તે ગુરુમહારાજેય એવું કહે, ‘આ છોડી દો, આ છોડી દો.’ મહારાજ તમે છીંકણી છોડી દોને ! અને આ તમારો ક્રોધ છોડી દોને ! ‘આપણે’ ‘ચંદુલાલને’ ના કહીએ કે ક્રોધને તું છોડી દે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ના છોડી દે, તો પ્રતિક્રમણ કરવાં પડે. શું કરવું પડે ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ, દાદા. દાદાશ્રી : કેટલાં પ્રતિક્રમણ કરવાં પડે ? પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણ કરવા પડે. રોજ એક હજાર કરવાં પડે. દાદાશ્રી : એટલે આ પ્રતિક્રમણ કરે એટલે એ છૂટો થઇ ગયો. (પા.૯૫)પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણથી તો આખો ભાવ બદલાઈ જાય. દાદાશ્રી : ભાવ જ બદલાઈ જાય. આખો રોડ જ બદલાઈ જાય. અને મારી-ઠોકીને છોકરાં સુધારશો તો એમાં કશું વળે નહીં. એ ઊંધો જ રસ્તો છે. પ્રશ્નકર્તા : હવે અણસમજુ માણસો છે એ એવી દલીલ કરે છે કે દાદા તો એમ કહે છે કે તું ચોરી કરજે. દાદાશ્રી : હા, એવી દલીલ કરે. એને સમજણ પડે નહીંને ! એને જ્યારે સમજાય ત્યારે આ કામ લાગે. એને ના સમજાય ત્યારે એ શું કરે ? કારણ કે આ સમજવું બહુ મુશ્કેલ વસ્તુ છે. આ સમજવું એ તો બહુ તીક્ષ્ણ બુદ્ધિ હોય તો સમજાય. પ્રશ્નકર્તા : તમે ચોરને એમ કહો છો કે ચોરી કરજે પણ આટલું રાખજે કે આ ખોટું કરું છું. મનમાં એનો પસ્તાવો રાખજે, પ્રતિક્રમણ કરજે. એ એટલું બધું કામ કરે છે ! દાદાશ્રી : એ જબરજસ્ત કામ કરે. પ્રશ્નકર્તા : તે છેવટે એમ થાય કે હવે મારે આ નથી કરવું. દાદાશ્રી : આ ગમ્મે તે શિક્ષા-દંડ એ બધું કામ નથી કરતું. પણ આ એક એવું છે, અક્રમ વિજ્ઞાનની રીત એ બહુ જુદી જાતની છે. વર્લ્ડના તમામ ‘રિલેટિવ’ ધર્મો દેહાધ્યાસીતેથી અમે કહીએ છીએ ને કે જગતના તમામ ધર્મો, બધાય દેહાધ્યાસી માર્ગ છે. દેહાધ્યાસ વધારનાર અને આપણો દેહાધ્યાસ રહિત માર્ગ છે. બધાય ધર્મો કહે છે કે ‘તમે તપના કર્તા છો, ત્યાગના કર્તા છો. તમે જ ત્યાગ કરો છો, તમે ત્યાગ કરતા નથી.’ ‘કરતા નથી’ કહેવું એય કરે છે, કહ્યા બરાબર છે. એમ કર્તાપણું સ્વીકારે છે અને કહેશે, મારે ત્યાગ થતો નથી એય કર્તાપણું છે. હા. અને કર્તાપણું સ્વીકારે છે એ બધો દેહાધ્યાસી માર્ગ છે. આપણે કર્તાપણું સ્વીકારતા (પા.૯૬)જ નથી. આપણા પુસ્તકમાં કોઈ જગ્યાએ ‘આમ કરો’ એવું ના લખેલું હોય. આ તો કોઈ સામા થતા નથી, સામા થાય તો આપણને એના હિસાબ જડે કે ભઈ, આ વર્લ્ડમાં કોઈ માણસ સંડાસ જવાની શક્તિ ધરાવતો નથી. કોઈ સામો થાય, તો આપણે એને સમજણ પાડીએ કે ‘કેવી રીતે આમ છે.’ આ વગર કામના એની પાછળ શું કામ પડ્યા છો ?’ તે આ હું કરું, આમ તપ કરું, આ ત્યાગ કરું એટલે લોકોને ઊંધે રસ્તે ચઢાવો છો. હું ત્યાગ કરું ને તમે ત્યાગ કરો ને બટાકા છોડો. અરે, શું કરવા વગર કામના લોકોની પાછળ પડ્યા છો. એટલે કરવાનું રહી ગયું અને ના કરવાનું કરાવડાવે છે. ના કરવાનું થતું નથી પાછું. થાય પણ નહીં અને વગર કામનો મહીં વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (શક્તિ ને સમયનો વ્યય). કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માંગવાની છે. અને પહેલાં જે શક્તિ માંગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે. પ્રશ્નકર્તા : પહેલાંનું તો ઈફેક્ટમાં જ આવેલું છે. દાદાશ્રી : હા, ઈફેક્ટમાં આવ્યું. એટલે કૉઝિઝ રૂપે તમારે શક્તિ માંગવાની છે. અમે પેલી નવ કલમો જેમ શક્તિ માંગવાની કહી છે, એ માંગીએ તો બધું આખું શાસ્ત્ર આવી જાય એમાં. એટલું જ કરવાનું. દુનિયામાં કરવાનું કેટલું ? આટલું જ. શક્તિ માંગવાની, કર્તાભાવે કરવું હોય તો. પ્રશ્નકર્તા : તો શક્તિ માંગવાની વાત. દાદાશ્રી : હા, કારણ કે બધા કંઈ મોક્ષે ઓછા જાય છે ? પણ કર્તાભાવે કરવું હોય તો આટલું કરો. શક્તિ માંગો. શક્તિ માંગવાનું કર્તાભાવે કરો, એમ કહીએ છીએ. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન ન લીધું હોય એના માટેની આ વાત છે ? (પા.૯૭)દાદાશ્રી : હા, જ્ઞાન ના લીધું હોય, જગતના લોકો માટે છે. બાકી અત્યારે જે રસ્તે લોકો ચાલી રહ્યા છે ને, એ તદ્દન ઊંધો રસ્તો છે. તે એનું હિત કોઈપણ માણસ સહેજે પામે નહીં. પ્રશ્નકર્તા : મેં વાત કરેલી કે માણસો લોજિક નથી સમજતા કે આ આટલું સરસ દાદાનું લોજિક છે. એની પણ સમજવાની તૈયારી નથી. દાદાશ્રી : તે જ કહું છું. સમજવાની તૈયારી નથી. લોકો આ બાજુ ઊંડા ઉતરવા માગતા જ નથી. કંઈક આ નવી જાતનું છે ને ઊંધું જ છે આ. એવો એમને ભય લાગી ગયો. પ્રશ્નકર્તા : દુનિયા ચાલી છે એના કરતાં આ કંઈ જુદું છે એટલે ખોટું છે એવું માને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : અને બીજું શું કે મેં આખી જિંદગી જે કર્યું એ છોડી દઉં ? દાદાશ્રી : હા, એ મારું કરેલું નકામું જશે ? આ બીક કાઢી નાખવી પડશેને ? પ્રશ્નકર્તા : મુખ્ય વાત તો ત્યાં છે ! દાદાશ્રી : ત્યારે એ કહેશે. ‘બહુયે દુઃખ છે પણ હવે જે છે એ ચલાવી લો.’ ત્યારે મેં કહ્યું, ‘અરે પણ તમે ચલાવી લો પણ તમારા શિષ્યોને તો પાછા ફરવા દો.’ ત્યારે એ કહે છે, ‘ના. તો અમે એકલા શું કરીએ ?’ એટલે આવું છે. આ મિથ્યાત્વનો રોગ ફેલાવ્યો, તેય કુદરતે જ ફેલાવ્યો છે. અને આ ફેરવી નાખશે, તેમાંય કુદરત જ છે. આપણે તો આમાં નિમિત્ત છીએ. અલ્યા, જૂનામાં સાર નહોતો કોઈ જગ્યાએ ત્યારે તો આ નવો (પા.૯૮)નીકળ્યો. અસારને જ સાર માનવામાં આવ્યો’તો. તેથી કૃપાળુદેવે કહ્યું, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ કર્યો છે મેં, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ આવ્યો છે. ‘મારાથી થતું નથી’ એમ ના બોલાય ?આ તો ચોપડીઓમાં બધો વ્યવહાર જ દેખાડેલો છેને ! ‘આમ કરો, તેમ કરો, દયા રાખો, શાંતિ રાખો, સમતા રાખો.’ એ સિવાય બીજું શું કરે તે ? અને એમાં પાછું પોતાની સત્તામાં કશુંય નથી. તમારી સત્તામાં કશું ના હોય અને નવું કહે કે ‘આ કરો, આ કરો’ એનો અર્થ શું થાય ? પ્રશ્નકર્તા : ગોટાળો થઈ જાય. દાદાશ્રી : ગોટાળો જ થઈ ગયો છેને ! લોક જાણે કે ‘આ તો આપણાથી થતું જ નથી’ એવું પછી પાછો માની લે. ગોટાળો થતો હોય તો સારો. પણ ‘થતું નથી’ એવું માની લે. એટલે પેલો ન્યૂટ્રલ થતો જાય. મેલ-ફીમેલમાંથી ન્યૂટ્રલ થતો જાય. ‘મારાથી થતું નથી, આમ થતું નથી, કરવું છે પણ થતું નથી.’ અલ્યા, તને કોણે શીખવાડ્યું ? ના બોલીશ આવી વાતો! બોલે ખરાં આવું ? પ્રશ્નકર્તા : હા, બોલે છે. દાદાશ્રી : કારણ કે આજના ઉપદેશકોએ એવું ઠસાવી દીધું છે કે આ કરો જ. ભગવાન આવું ના બોલે. મહાવીર ભગવાન આવું બોલતા હશે ? આખું આવડું મોટું શાસ્ત્ર મોઢે બોલ્યા, તે ભગવાન આવું બોલે ? પણ આજના ઉપદેશકો આવું બોલે. ‘બ્રહ્મચર્ય પાળો.’ અલ્યા, તારાથી પાળી શકાય છે ? તે મને શું કરવા કહે છે ? એક યથાર્થ સાધુ હોય, તે પાળી શકે અને બીજા ગો-પુત્ર પાળી શકે. બે જણ બ્રહ્મચર્ય પાળી શકે. યથાર્થ સાધુ હોય એ પાળે. એ યથાર્થ બ્રહ્મચર્ય કહેવાય અને આ ગો-પુત્ર પાળે એ પરવશ બ્રહ્મચર્ય કહેવાય. કોઈ દોષિત છે નહીં બિચારાં. મારા જ્ઞાનમાં તો નિર્દોષ છે. (પા.૯૯)છતાંય પણ આ વ્યવહારમાં તો કહેવું પડે ને મારે. નહીં તો હકીકત જડે નહીં ને ! આ લોકોને તો ‘ચોરી ના કરો, લુચ્ચાઈ ના કરો, જૂઠ ના બોલો.’ એવું ના બોલાય, આવું નોધારું વાક્ય બોલાતું હશે. એવાં વાક્યો બોલો છો ? આખા હિન્દુસ્તાનને પાયમાલ કરી નાખ્યું. છેલ્લી કોટી ઉપર બેસાડી દીધું ! ‘કરવું છે પણ થતું નથી’ ઉદય વાંકા આવ્યા હોય તો શું થાય ? ભગવાને તો એવું કહ્યું’તું કે ઉદય સ્વરૂપમાં રહી અને આ જાણો. કરવાનું ના કહ્યું’તું. તે આ જાણો એટલું જ કહ્યું’તું. તેને બદલે ‘આ કર્યું પણ થતું નથી. કરીએ છીએ પણ થતું નથી. ઘણીયે ઈચ્છા છે પણ થતું નથી’ કહે છે. અલ્યા, પણ તેને શું ગા ગા કરે છે, અમથો વગર કામનો. ‘મારે થતું નથી, થતું નથી’ એવું ચિંતવન કરવાથી આત્મા કેવો થઈ જાય ? પથ્થર થઈ જાય. અને આ તો ક્રિયા જ કરવા જાય છે, અને જોડે થતું નથી, થતું નથી, થતું નથી બોલે છે. એવું કેટલા બોલતા હશે ? પ્રશ્નકર્તા : બધા જ, લગભગ બધા. દાદાશ્રી : એ જે ‘થતું નથી’ કરે, એટલે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય. એટલે ‘થતું નથી, થતું નથી, થતું નથી’ બોલે એટલે પછી જડ જેવો થઈ જાય. એટલે આ આમને આવું બોલી બોલીને જડ જેવા થવું પડશે. પણ એમને એની જવાબદારીની ખબર નથી. એટલે બિચારા બોલે છે. હું ના કહું છું કે ના બોલાય, અલ્યા, ‘થતું નથી’ એવું તો બોલાય જ નહીં. તું તો અનંત શક્તિવાળો છે, આપણે સમજણ પાડીએ ત્યારે તો ‘હું અનંત શક્તિવાળો છું’ બોલે છે. નહીં તો અત્યાર સુધી થતું નથી, એવું બોલતો હતો ! શું અનંત શક્તિ કંઈ જતી રહી છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ તો શું કહે છે ? ‘શક્તિ આપો.’ ‘આવું કરો, (પા.૧૦૦)આમ કરજો, તેમ કરજો.’ એમ ના કહે. તે ‘કરો’ એમ કહે છેને, એમણે રખડાવી માર્યા છે. આમાં ‘કરો’ એમ શબ્દ છે ? પ્રશ્નકર્તા : નથી. ‘શક્તિ આપો’ એમ છે. દાદાશ્રી : આ તો ‘કરો, કરો’ કહેશે. અલ્યા શું કરો ? તેંય કર્યું ને અમેય કર્યું. કશું વળ્યું નહીં અને અહીં તો હે દાદા ભગવાન, શક્તિ આપો ! બસ ! આટલાં કરોડો વર્ષથી, અબજો વર્ષથી, આ હિન્દુસ્તાન દેશ આટલી અધ્યાત્મવાણી લોક ગા-ગા કરે છે, પણ અધ્યાત્મવાણી કોનું નામ કહેવાય ? આ તો ‘થઈ ગયેલા’ને ‘મેં કર્યું’ કહે છે. જે ઈટ હેપન્સ છે. પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અત્યારે વધારે લોકોમાં શાને કારણે થાય છે ? દાદાશ્રી : આ બધાં દુઃખ જ આને કારણે થયાં. બધાં દુઃખ આને કારણે ઊભાં રહ્યાં છે. જો એમ બહાર પાડવામાં આવે કે આટલો ભાગ ‘ઈટ હેપન્સ’ છે અને આટલા ભાગ પર તમારી સહી થશે, તો ઘણાં દુઃખો ઓછાં થઈ જાય. હવે આની પર તમારે શું કરવાનું ? ત્યારે કહે, ખરાબ થાય તો સુધારીને કરજો. ભાવથી સુધારજો. અવળું થાય તો પંપીગ કરજો. હેલ્પ કરજો. બસ, આટલું જ કરવાનું છે. ખરાબ થાય તો સુધારજો. એટલે થઈ જાય છે. મેં એકદમ કો’કનું અપમાન કર્યું, એ થઈ ગયું કહેવાય. અને પછી હું અંદર સુધારું કે ‘ભઈ, એ ખોટું થયું, એની પર પશ્ચાત્તાપ કરું, એનાં પ્રતિક્રમણ કરું, પ્રત્યાખ્યાન કરું,’ એ સુધાર્યું કહેવાય. એને ભ્રાંતપુરુષાર્થ કહેવાય. જગતમાં સાચો પુરુષાર્થ તો હોતો જ નથી, પણ એને ભ્રાંત પુરુષાર્થ કહેવાય. પોતે ખોટું કર્યુ એને પોતે જ એને ‘ખોટું થયું છે’ એમ સ્વીકાર કરી અને પોતે આ રીતે એનો પશ્ચાત્તાપ કરે છે. (પા.૧૦૧)બાકી સત્ધર્મને તો જગત ‘ટચ’ નથી થયું કોઈ દહાડોય, એક આંકડોય સત્ધર્મનો સમજ્યા નથી. આ જે બને છે એ જ કરેક્ટ છે. એ તો કહે છે, ‘મારું માનતા નથી’ અરે, શાનો માને ? કોઈ કોઈનું માનતો હશે ? પેલો કરીને આવેલો હોય, તમે કરીને આવેલા હો. તમે આમ બોલો, તે પેલો એ પ્રમાણે કરે. આ તો હું કહું છુંને ને પેલો માને છે, એવું એડજસ્ટ થાય છે. બાકી ખરેખર તેય મારું માનતો નથી, કોઈ દહાડોય. આ તો થઈ ગયેલી વસ્તુ છે. આ તો નાટકમાં થઈ ગયેલી છે. એ રિહર્સલ થઈ ગયેલું છે એમાં, તેથી અમે ‘વ્યવસ્થિત’ કહીએ છીએને ! એનું શું કારણ ? થઈ ગયેલું છે. એને શું જુઓ છો ? જે થઈ ગયેલું છે, એને ‘વ્યવસ્થિત’ કહીએ છીએ. એ તો સમજવાનું છે એમાં લોકો ધર્મ-ધર્મ બોલ્યા કરે છે. બધાય સારા માણસો, એ મોટા માણસો છે, એમાં આપણે ના કહેવાય નહીં. પણ ધર્મ કોને કહો છો ? સત્ધર્મ કોને કહો છો ? આ તો બધાયે ગાયું જ છે, આનું આ જ ગાયા કરે છે ને, કોઈએ નવું ગાયું ? કંઈ ફાયદો-બાયદો ના થવો જોઈએ ? કંઈ ફેરફાર ના થવો જોઈએ ? આ તો કરીને આવ્યા છે. દળેલું દળ દળ કરે છે ને વચ્ચે લોટ ઊડાડી મેલે છે !!! કારણ કે માણસ કરી શકે એમ નથી. માણસનો સ્વભાવ કશું કરી શકે નહીં. કરનાર પરસત્તા છે. આ જીવો માત્ર જાણનાર જ છે. એટલે તમારે જાણ્યા કરવાનું અને તમારું આ જાણશો એટલે જે ખોટા પર જે શ્રદ્ધા બેઠી હતી તે ઊડી જશે. અને તમારા અભિપ્રાયમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે ? ‘જૂઠું બોલવું એ સારું છે’, એ અભિપ્રાય ઊડી જશે. એ અભિપ્રાય ઊડ્યો એના જેવો કોઈ પુરુષાર્થ નથી. આ દુનિયામાં આ વાત ઝીણી છે, પણ બહુ બહુ વિચાર માગી લે. પ્રશ્નકર્તા : ના, પણ આખી વાત લોજીકલ છે. દાદાશ્રી : હા, લોજીકલ છે આ. બહુ વિચારવા જેવું છે અને આપણા લોક પછી શું કહે છે ? જાણીએ છીએ ખરું પણ કંઈ થતું (પા.૧૦૨)નથી. થતું નથી એટલે શું થાય એનું ? એણે શું કહ્યું ? પ્રશ્નકર્તા : કંઈ થતું નથી. દાદાશ્રી : આ જે ‘કંઈ થતું નથી’ એ મોટામાં મોટી જોખમદારી છે. શી જોખમદારી ? ત્યારે કહે, ભ્રાંતિમાંય પણ અંદર આત્મા હોવાથી જેવું બોલે તેવું થઈ જાય, જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે ‘કંઈ થતું નથી, કંઈ થતું નથી.’ એટલે કાં તો જાનવરનો અવતાર, કાં તો પથ્થરનો અવતાર આવે, જે કંઈ ન કરી શકે એવો. એટલે ખબર નથી આ જવાબદારીઓ. ‘કાંઈ નથી થતું’ એવું લોકો કહે છે તે સાંભળવામાં આવેલું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ ના બોલાય એવું. ‘કંઈ થતું નથી’ એવું નહીં. કરવાનું જ નથી બા. સંડાસ જવાનુંય પરસત્તાના હાથમાં છે તો કરવાનું તમારા હાથમાં શી રીતે હોઈ શકે ? કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેના હાથમાં સહેજ પણ કરવાની સત્તા હોય. તમારે જાણવાનું છે અને નિશ્ચય કરવાનો છે. એટલું જ કરવાનું છે તમારે. આ વાત સમજાય તો કામ નીકળી જશે. હજુ એટલી બધી સહેલી નથી સમજાય એવી. તમને આમાં સમજાય ? કશું કરવા કરતાં જાણવું સારું ? કરવું તરત બની શકે છે ? પ્રશ્નકર્તા : આપ કહો છો એ સમજાઈ ગયું. વાત બરાબર છે પણ આમ કરવું એ સમજ્યા પછી પણ કરવાનું તો રહે જ ને ? જેમ કરવાની સત્તા નથી તેમ જાણવાની પણ સત્તા તો નથી જ ને ? દાદાશ્રી : ના, જાણવાની સત્તા છે. કરવાની સત્તા નથી. આ બહુ ઝીણી વાત છે. આ આટલી જો વાત સમજણ પડે તો બહુ થઈ ગયું. બદલો અભિપ્રાયનેએક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે (પા.૧૦૩)તે ઘડીએ ગજવામાંથી કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેનેય ના છોડે. અરે, ઘણા ગેસ્ટને તો પાછું જવાનું ભાડું ખલાસ થઈ ગયું હોય, તોય છોકરો એના પૈસા કાઢી નાખે, તો પેલો શું કરે બિચારો ? શી રીતે પાછા માંગે ? અને ઘરમાં કહેવાય નહીં. જ્યાંથી લીધા ત્યાં કારણ કે એવું કહે તો છોકરાને ઘરવાળાં મારે એટલે બીજી જગ્યાએથી ઉછીના લઈને પણ ઘેર ગયેલા. શું થાય ? પેલો છોકરો ખાલી જ કરી નાખેને ! હવે એ છોકરાને આપણે શું શીખવાડીએ ? કે આ ભવમાં તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માંગ. હવે એમાં એને શું લાભ થયો ? કોઈ કહેશે, ‘આમાં શું શીખવાડ્યું ?’ એ તો શક્તિઓ માંગ માંગ કર્યા કરે છે અને પાછો ચોરી તો કરે છે. અરે, છો ને ચોરી કરતો. આ શક્તિઓ માંગ માંગ કરે છે કે નથી કરતો ? હા, શક્તિઓ તો માંગ માંગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે. તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે ? પ્રશ્નકર્તા : ખરું એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે. એટલે માગવાથી લાભ થાય છે કે નહીં એ પણ નથી સમજતા. દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે ? કે એક તો એ છોકરો માંગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. ‘ચોરી કરવી એ ખોટું છે અને ચોરી ન કરવી એ સારું છે.’ એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો ! અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો. પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન ! શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ. છૂટકો જ નહીં ને ! બધાને આપે. માગનાર જોઈએ. તેથી કહું છું ને આ તો તમે માગતાં ભૂલો છો ! આ તમે તો કશું માગતા જ નથી, કોઈ દહાડો નથી માંગતા. (પા.૧૦૪)આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ? પ્રશ્નકર્તા : આ તો બહુ વૈજ્ઞાનિક ખુલાસો છે. અભિપ્રાય બદલાયો અને સાચું માગ્યું. દાદાશ્રી : અને શક્તિ આપો એમ કહે છે. ‘આપો’ કહેલું એ તો કંઈ જેવી તેવી વાત છે ? ભગવાન ખુશ થઈને કહે છે, ‘લે.’ અને બીજું એનો અભિપ્રાય તો બદલાઈ ગયો છે. બાકી એને મારી મારીને, મારી ઠોકીને અભિપ્રાય બદલાય નહીં. એ તો અભિપ્રાય મજબૂત કરી આપે. ચોરી કરવી જ જોઈએ. અલ્યા, મારી ઠોકીને દવા ના થાય આવી, દવા માટે તો દાદા પાસે તેડી જા. ખોળામાં બેસાડીને ડાહ્યો કરી દેશે. દવાના જાણકાર જોઈએ ને ! અભિપ્રાય બદલવો એ કંઈ સહેલી વાત નથી. આવી ગુપ્ત રીતે બદલાય. એમને એમ આપણે કહીએ કે ચોરી નહીં કરવી એ સારું છે. ચોરી કરવી એ ખોટું છે. તો મનમાં સમજી જાય કે આ વગર કામનું કરીએ છીએ ને ના કરવાનું બોલે છે. તે રસ્તે ન ચઢે. અને અમારી આ વૈજ્ઞાનિક શોધખોળ છે બધી. મોટામાં મોટો અભિપ્રાય પોતાનો બદલાયો, પણ કહે છે, એ અભિપ્રાય તો મારો થઈ ગયો, પણ હવે ભગવાન મને શક્તિ આપો. હવે મને તમારી શક્તિની જ જરૂર. મારો અભિપ્રાય તો બદલાઈ ગયો છે. પ્રશ્નકર્તા : અને વધુ તો દેનારો બેઠો છે. એટલે માગવા જેવું છે. દાદાશ્રી : હા, માગો એ આપવા તૈયાર છું. એક કલાકમાં મારા જેવો બનાવું એવી મેં આ ગેરન્ટી આપી છે. બધું બોલ્યો છું. એવી ગેરન્ટી નથી આપી ? કેટલાંય વર્ષથી આ ગેરન્ટી આપું છું. ‘મારા જેવો એક કલાકમાં બનાવી દઉં. તમારી તૈયારી જોઈએ.’ (પા.૧૦૫)જ્ઞાનીપુરુષ બધી દવા બતાવી દે, રોગનું નિદાનેય કરી આપે ને દવાયે બતાડી આપે. આપણે ફક્ત પૂછી લેવાનું કે ‘સાચી વાત શું છે, અને મને તો આમ સમજાયું છે.’ એટલે તરત બતાડે ને, તે ‘બટન’ દબાવવાનું એટલે ચાલુ થઈ જાય. પ્રશ્નકર્તા : ભૂલનો ખ્યાલ આવે ત્યારે પ્રતિક્રમણ વિધિ કરવી કે નહીં ? દાદાશ્રી : કશો વાંધો નહીં. બહુ બેફામ થઈ જાય તો, ‘દાદા, માફી માગું છું અને ફરી મને શક્તિ આપો. દાદાની પાસે માફી માંગવી જોડે જોડે જે વસ્તુની માફી માંગીએ તે વસ્તુમાં મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માંગીને લેજો, તમારી પોતાની વાપરશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માંગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ? હરેક બાબતમાં દાદા, મને શક્તિ આપો. હરેક બાબતમાં શક્તિ માંગ માંગ કરીને જ લેવી. પ્રતિક્રમણ ચૂકી જવાય તો પ્રતિક્રમણ મને પદ્ધતિસરનું કરવાની શક્તિ આપો. બધી શક્તિ માંગીને લેવી. અમારી પાસે તો તમે માંગતાં ભૂલો એટલી શક્તિ છે. શક્તિ માંગી સાધો કામમેં નવ કલમો આપી, એક ભાઈને મેં કહ્યું કે આમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ વાંચજો. પછી એ કહે છે, ‘પણ આ થાય નહીં.’ મેં કહ્યું, ‘‘હું કરવાનું નથી કહેતો બળ્યું. ‘થાય નહીં’ એવું ક્યાં કહો છો ? હું તમને આ કરવાનું નથી કહેતો. તમારે તો એટલું કહેવાનું, ‘હે દાદા ભગવાન, મને શક્તિ આપો’ એટલું માંગવાનું કહું છું.’’ ત્યારે કહે, આ તો મજા આવશે. તો તો મજા આવશે ! આ લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે. ‘હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ (પા.૧૦૬)પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.’ ધર્મ એટલે તો ત્રણ જણ જે દંડૂકો હલાવતા હોય, ત્રણ જણ ભેગા થવું એનું નામ ગચ્છ કહેવાય. ત્રણ સાધુઓ ભેગા થઈને બેસે અને પેલાએ ઘાલી થાંભલી, અને બેઠા એટલે ગચ્છ ચાલુ થઈ ગયો. એકલાને માટે ભગવાને ગચ્છ ના પાડી છે. તેથી કૃપાળુદેવે કહ્યું કે ‘ગચ્છ-મતની જે કલ્પના તે નહીં સદ્વ્યવહાર.’ એટલે આ બધું જ છે તે ફરી કન્સ્ટ્રક્શન કરવાનું છે. આખી બધી ભીંતો-ફાઉન્ડેશન બધું કાઢીને ફરી કન્સ્ટ્રક્શન કરવા માટે જ આ બધાં મટેરીયલ આવી રહ્યાં છે. એ રોડાનાં ચૂના-રેતી નાખેલાં તે કાઢી નાખી આર.સી.સી.નાં ફાઉન્ડેશનો થવાનાં. બાકી ધર્મના પાયા કેવા મજબૂત હોવા જોઈએ ! પેલા ભાઈ કહે છે, ‘આ થાય નહીં, માટે કરવું નથી.’ હું કહું છું કે આ શક્તિ માંગો. મને કહે છે, ‘એ શક્તિ કોણ આપશે ?’ મેં કહ્યું, ‘શક્તિઓ હું આપીશ.’ તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. માગતાં જ ના આવડે તેને હું શું કરું ? પછી મારે જ શીખવાડવું પડે કે આવી રીતે શક્તિઓ માંગો. તમને પોતાને ના આવડે ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માંગજો. ના શીખવવું પડે ? જુઓને, આ શીખવાડ્યું જ છે ને બધું ! આ મારું શીખવાડેલું જ છે ને ! એકાદ કલમ બોલને. પ્રશ્નકર્તા : હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. (પા.૧૦૭)મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દાદાશ્રી : એટલે એ સમજી ગયા, પછી કહે છે આટલું થાય, આમાં બધું આવી ગયું. મને કહે, ‘પણ આ થાય નહીં, શી રીતે કરાય ?’ મેં કહ્યું, ‘આ તો થતું હશે ? તમારે આ કરવાનું નથી. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતાં બે રોટલી વધારે ખાજો પણ આ શક્તિ માંગજો.’ ત્યારે મને કહે છે, ‘એ વાત મને ગમી.’ પ્રશ્નકર્તા : પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માંગે મળે કે નહીં ? દાદાશ્રી : એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માંગ્યા કરે છે ને ? જુઓ-જાણો ફિલ્મ જ્યમપ્રશ્નકર્તા : આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલું ધોવાઈ જાય એના માટે છે આ ? દાદાશ્રી : એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય, શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય. શક્તિ તો આખી છે જ મહીં, પણ અવ્યક્તરૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણુંખરું ઓછું થઈ ગયુંને ? (પા.૧૦૮)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નહીં કરવાનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય. પોતે ભૂલી જાય, પોતાની શક્તિ ભૂલી જાય અને આમાં તન્મયાકાર થઈ જાય એટલે એનો અર્થ ગમે છે કહેવાય. ખાઓ-પીઓ પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાવ છો તો કંઈ કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો એને ભેટે છે ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે એ કેમ મારું છું ? ના મારીશ. એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી. કેટલા વર્ષ પહેલાં સિનેમા જોવા ગયેલા ? તે દહાડે જોયેલું ખરું ને પણ ? તે કંઈ બોલતા નહોતાને કે કેમ મારું છું તે ? હં, જોવાનું જ છે ત્યાં આગળ. એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાવ જોડે. ફિલ્મ તો કહે છે કે જોઈને જાવ. પછી તમે ઊંધું કરો તેનું ફિલ્મ શું કરે બિચારી ? ફિલ્મ કહે છે કે તમે મને જોડે લઈ જાવ ? પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર-બુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે ! એટલે એ તમારે શક્તિ આવ્યા પછી, મહીં શક્તિ ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે. તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. ‘હું કરવા જઉં છું ને પછી થતું નથી’ એવું ‘થતું નથી’ એવું થશે પાછું. પેલી શક્તિ માંગો. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ પછી અમે અમારે દેશમાં જતા રહેવાનાને ! પ્રશ્નકર્તા : દોષોનાં પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે ? (પા.૧૦૯)દાદાશ્રી : તમારે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષનાં પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય તેનાં પ્રતિક્રમણ તો રોજેય કરવાનાં. પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છેને ? દાદાશ્રી : ના, ના. અક્રમ માર્ગમાં એવી શુદ્ધતાની જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય, અનંત અવતારના બધાની જોડે એ હિસાબ છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે. પ્રશ્નકર્તા : આ ચોપડા બધા વિચાર, વાણી ને વર્તનના જ છેને ? દાદાશ્રી : ના, એ વિચાર-વાણી-વર્તન એ જુદી વસ્તુ છે. એ શું કહેવા માગે છે કે ક્રમિક માર્ગમાં આજે જે આચાર પાળે છે, એ આચાર જો હું રાજીખુશી થઈને પાળતો હોઉં, તો એ બીજ પડશે. અને આવતા ભવનું પાછું તારું ચાલું થશે પણ આચાર જ ના પાળતો હોય એને ક્રમિક માર્ગ હોય નહીં અને અક્રમમાં તો આચાર-બાચારની જરૂર જ નહીં અને અક્રમમાં તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે અક્રમની અંદર જે જ્ઞાન લે છે, વિચાર, વાણી ને વર્તન ‘ડિસ્ચાર્જ’ રૂપે છે, એટલે એ પ્રશ્ન ઊભો થતો જ નથી. દાદાશ્રી : વિચાર, વાણી ને વર્તન ડિસ્ચાર્જ રૂપે જ છે ને એને લેવાદેવા શું છે ? આ તો અનંત અવતારથી લોકોની જોડે જ ખટપટ થયેલી હોય તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય, એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. જબરજસ્ત પ્રતિક્રમણ છે એ. (પા.૧૧૦)પ્રશ્નકર્તા : આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે, અભિપ્રાયથીય છે. દાદાશ્રી : એ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષ થઈ ગયેલાને એ બધા બોલવાથી ઢીલા થઈ જાય. અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય. (પા.૧૧૧)[6] રહે ફૂલ, જાય કાંટાચિત્ત શુદ્ધિકરણ એ જ અધ્યાત્મસિદ્ધિપ્રશ્નકર્તા : કર્મની શુદ્ધિ કેવી રીતે થાય ? દાદાશ્રી : કર્મની શુદ્ધિ ચિત્તની શુદ્ધિ કરવાથી થઈ જાય. ચિત્તની શુદ્ધિ થાય એટલે કર્મની શુદ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુદ્ધિને લઈને કર્મ અશુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે કર્મ શુદ્ધ જ થઈ જાય. પ્રશ્નકર્તા : દરેક કર્મ શુદ્ધ થઈ જાય ? ગમે તે કર્મ કરે તે શુદ્ધ થઈ જાય ? દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થઈ જાય ને તો પછી કર્મ શુદ્ધ થઈ જાય. ચિત્ત અશુદ્ધ હોય તો કર્મ અશુદ્ધ, ચિત્ત શુભ હોય તો કર્મ શુભ, ચિત્ત અશુભ હોય તો કર્મ અશુભ ! એટલે ચિત્ત ઉપર એનો બધો આધાર છે એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે કે, મારે ચિત્તશુદ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં ચિત્તશુદ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્તશુદ્ધિ કરવાની જરૂર છે. ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે. તેથી બધાં અશુદ્ધ કર્મો થયા કરે છે. જાણે તોય પશ્ચાત્તાપ નથી કરતા. જાણે તોય શું કહે, કે બધા એવું જ કરે છે ને ! (પા.૧૧૨)એટલે પોતાનું ચિત્ત અશુદ્ધ થાય છે તે ભાન નથી રહેતું. પ્રશ્નકર્તા : વ્યવહારશુદ્ધિ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો વ્યવહારમાં ચિત્તની શુદ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી તો પછી એ વ્યવહારશુદ્ધિ થઈ ગઈ. અને દગો થઈ જાય તો વ્યવહાર અશુદ્ધ થઈ જાય. એટલે નીતિ-નિયમ પ્રામાણિકતાથી ચાલે તો વ્યવહારશુદ્ધિ રહે. ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ. (પ્રામાણિકતા એ જ ઉત્તમ નીતિ છે ને અપ્રમાણિકતા એ ઉત્તમ મૂર્ખાઈ છે !) વ્યવહારશુદ્ધિ માટે, સામાને દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ, એ વ્યવહારશુદ્ધિ કહેવાય. સહેજ દુઃખ ના થાય. આપણને થયું હોય, તે ખમી ખાવાનું. પણ સામાને ન જ થવું જોઈએ. પ્રશ્નકર્તા : આપણે કર્મોનાં પ્રતિક્રમણ કરીએ તો છૂટી જવાય કે નહીં ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી લગભગ બધું ખલાસ થઈ જાય, થોડું ઘણું રહે. આ કર્મ જ અતિક્રમણથી બંધાય છે. જેવા રસથી અતિક્રમણ કર્યું હતું તેવો રસ ભોગવવાનો. પ્રતિક્રમણ કરે તોય રસ તો ભોગવવો પડે. રસ જેટલું ભોગવવાનું રહે પછી. મહીં રસ લીધો છે ને ? વધારે દોષ અતિક્રમણનો છે. વ્યવહાર ચાલતો હોય, કોઈને કશી હરકત ના થાય, સહેજે ચાલતું હોય તેનો કશો વાંધો નહીં. પરિણામે પ્રતિક્રમણથી નવાં કર્મ બંધાતાં અટકે. જૂનાં તો ભોગવી લેવાં પડે. કર્તાભાવ ગયા પછીપ્રશ્નકર્તા : જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણો કર્તાભાવ જતો રહ્યો. એટલે આપણાં નવાં પુદ્ગલો બંધાતાં બંધ થયાં ? (પા.૧૧૩)દાદાશ્રી : કર્તાભાવ ગયો ત્યાં નવું કર્મ બંધાતું બંધ થઈ ગયું. પ્રશ્નકર્તા : તો હવે જે જૂનાં કર્મો બાકી રહી ગયાં હોય એમને જીર્ણ કરવા માટેનો ઉપાય શું ? દાદાશ્રી : ના, એની મેળે જ, આ પાંચ આજ્ઞા આપી છે ને ? તેમાં રહે તો જૂનાં કર્મનો સમભાવે નિકાલ જ થઈ જાય બધો, નવાં કર્મો બંધાયા સિવાય. પ્રશ્નકર્તા : પણ ભારે કર્મ બંધાઈ ગયાં હોય તો એ આપણે હળવેથી ભોગવીને પૂરું કરવું ? દાદાશ્રી : ના, એનું પ્રતિક્રમણ કર કર કરવું પડે. જેને બહુ ભારે ચીકણું કર્મ હોય તો એનું પ્રતિક્રમણ વધારે કરવું પડે. વધારે ચીકણું હોય ને, એવું લાગે તો આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીએ એ ધોવાઈ જાય બધું. તે તદ્દન જતું ના રહે, કારણ કે એક અવતારી આ જ્ઞાન છે. પ્રશ્નકર્તા : અતિક્રમણ થઈ જાય પણ જાગૃતિ ન હોય તો ? દાદાશ્રી : તો પ્રતિક્રમણ ન થાય એમ ? પ્રશ્નકર્તા : પછી ભાન આવે તો પ્રતિક્રમણ થાય. દાદાશ્રી : એ તો પછી એણે ઝોકું ખાધું હોય, પણ તેથી કરીને કર્મ બંધાયું નહીં. કર્મ બંધાય ક્યારે ? પોતે ‘હું ચંદુલાલ છું’, એમ નક્કી કરે ત્યારે. એ ઝોકું ખાવાનું ફળ તો કાચું રહ્યું. એ કાચું રહ્યું, તેનું ફળ આવે પછી. કાચું તો ના રહેવું જોઈએ. ઝોકું ખાય તો ઝોકાનું ફળ તો મળે ને ? કર્તા તરીકેનું ફળ નહીં, પણ જે આ કાચું રહ્યું તેનું ફળ આવે. રહ્યું માત્ર પ્રતિક્રમણપ્રશ્નકર્તા : એટલે હવે એકલું પ્રતિક્રમણ રહ્યુંને, દાદા ? (પા.૧૧૪)દાદાશ્રી : પ્રતિક્રમણ જ. અને તેય, અતિક્રમણ થાય તો જ. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. આખો દહાડો સલાહસંપથી જ હોય છે. પણ ટેબલ ઉપર કંઈક જમવાની બાબતમાં ભાંજગડ થઈ કે, અતિક્રમણ થયું પાછું. હવે એ કંઈ આજનો દોષ નથી, એ પહેલાંનો છે, ચારિત્રમોહનીય છે. આજ તો આપણને ગમતું જ નથી આવું. પણ થઈ જાય છે, નહીં ? અતિક્રમણ ને આક્રમણપ્રતિક્રમણ આ બે શબ્દોનું કરવાનું હોય; એક અતિક્રમણ અને બીજું આક્રમણ. આક્રમણ વસ્તુ આપણામાં ન હોવી જોઈએ. આક્રમણ એટલે એટેકીંગ નેચર (હુમલાખોર સ્વભાવ). આક્રમણ એટલે વાત વાતમાં, શબ્દમાંય એટેક (હુમલો) કરી નાખે. શબ્દમાં એટેક થાય, એ એટેકીંગ નેચર કહેવાય, આક્રમણ કહેવાય. અતિક્રમણ ને આક્રમણમાં ફેર શો ? પ્રશ્નકર્તા : આક્રમણ એટલે સીધો જ એટેક થયો ? દાદાશ્રી : હા. એટેક જ, બસ ! હુમલો કરવો, આક્રમણ ! અને ક્રમણ એટલે શું ? ત્યારે કહે, વ્યવહારિક વાતચીતો ચાલતી હોય એવી રીતે સવાર સુધી વાતો કર્યા કરીએ. અને કોઈને દુઃખ ના થયું હોય તો આપણે જાણવું કે એ ક્રમણ કહેવાય. સહેજેય કોઈને ‘જોક’ કરી હોય અને સામો જરા કાચો હોયને, જરા ચલાવી લેતો હોય. પણ મહીં એને દુઃખ થાય તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે બધાની ‘જોક’ કરીએ પણ કેવી ? નિર્દોષ ‘જોક’ કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે ‘જોક’ કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. નિર્દોષ જોક કરીએ બધી. બાકી એ જોક કોઈને દુઃખ ના કરે ! અતિક્રમણ થઈ જવું એ સ્વભાવિક છે ને પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. (પા.૧૧૫)પ્રશ્નકર્તા : આ અતિક્રમણ થયું તો એ તો બધાને ટેવ પડી ગઈ હોય પ્રતિક્રમણ કરવાની. ‘અતિક્રમણ થયું’ એવો એને એક જાતનો અભિપ્રાય પડી ગયો હોય એટલે એને પોતાને લાગે કે આ અતિક્રમણ થયું છે. અને ખરેખર અતિક્રમણ ન પણ થયું હોય. એવું બનેને ? દાદાશ્રી : પણ અતિક્રમણ તો તરત જ ખબર પડે. પોતાને મહીં સહેજેય એવું લાગે કે આ કડક નીકળી ગયું, એવું ખબર ના પડે ? ઊલટી કરેલી અને કોગળો કર્યો એમાં ફેર ના પડે ? પ્રશ્નકર્તા : પડે. દાદાશ્રી : એ બધું ખબર પડે. પોતાને કંઈ દુઃખ થાય, એટલે જાણવું કે અહીં અતિક્રમણ થયું છે. પ્રશ્નકર્તા : બીજો એક શબ્દ આવે છે. પરાક્રમ એટલે શું ? દાદાશ્રી : ક્રમ-અક્રમથી પર એ પરાક્રમ. હમણે પ્રતિક્રમણ કરને ? પરાક્રમ આવે ત્યારે સાચું. સ્ટેશન બહુ મોટું છે. તે લાંબું હોય, અત્યારે તો રાહ જોઈએ તે ઊલટું આ રહી જાય, અક્રમ રહી જાય. પ્રતિક્રમણ કરને, હજુ તો આક્રમણનું પાછું પ્રતિક્રમણ કરવું પડે છે, ત્યાં સુધી પરાક્રમ શી રીતે થાય તે ? પ્રશ્નકર્તા : પરાક્રમની જરૂર આક્રમણની સામે છેને ? દાદાશ્રી : આક્રમણની સામે તો પ્રતિક્રમણ કરવાં. પરાક્રમ તો બન્નેથી પર, ક્રમ-અક્રમથી, બન્નેથી પર. એ પરાક્રમ શબ્દ, ક્યાંથી ચોરી લાવ્યો તું ? પ્રશ્નકર્તા : આપ્તવાણી છઠ્ઠીનું વાંચન કર્યુંને ! દાદાશ્રી : એમ ! આપણી પાસે પ્રતિક્રમણનું ઘણું સારું સાધન છે. આડાઈ કરીએ એટલે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણનું બહુ બળ છે. તમે પ્રતિક્રમણનું લશ્કર ના મોકલો ને ? નહીં તો પ્રતિક્રમણનું લશ્કર મોકલો તો એ જીતે જ ! લશ્કર જીતે કે ના જીતે ? (પા.૧૧૬)પ્રકૃતિ ક્રમણથી થઈ, અતિક્રમણથી ફેલાણીપ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ બધી રીતે મુખ્ય છે ને આમ તો ? કારણ કે જો સમજણ પડે કે ના પડે, ભૂલ દેખાતી હોય કે ના દેખાતી હોય, કંઈ આવડતું હોય કે ના આવડતું હોય, બધામાં પ્રતિક્રમણથી ઉકેલ એની મેળે આવતો જાય ને ! દાદાશ્રી : અતિક્રમણથી આ બધું ઊભું થયું છે, અને અહીંથી પોતાના દેશમાં જવું હોય, તો પ્રતિક્રમણ કરો. સહેલી વાત કે ? સહેલું છે કે અઘરું ? પ્રશ્નકર્તા : બહુ સહેલું છે. દાદાશ્રી : અતિક્રમણથી ઊભું થયું છે આ અને પ્રતિક્રમણથી બંધ થઈ જશે. પ્રશ્નકર્તા : પ્રકૃતિ આખી અતિક્રમણથી ઊભી થઈ છે ને ? દાદાશ્રી : પ્રકૃતિ ક્રમણથી ઊભી થઈ છે, પણ અતિક્રમણથી ફેલાય છે, ડાળાં-બાળાં બધુંય. પ્રશ્નકર્તા : અતિક્રમણથી આખી પ્રકૃતિ ફેલાય છે. દાદાશ્રી : અને પેલું પ્રતિક્રમણથી બધું ફેલાયેલું ઓછું થઈ જાય, એટલે એને ભાન આવે. પ્રશ્નકર્તા : અતિક્રમણથી પ્રકૃતિ ફેલાય, પછી આગળ આક્રમણ કહો છો ને ? આક્રમણથી શું થાય ? અતિક્રમણ અને આક્રમણ, એટેકથી ? દાદાશ્રી : એ જ અતિક્રમણ ને ? પ્રશ્નકર્તા : અતિક્રમણથી પણ ભારે થયું ને ? દાદાશ્રી : ના, એ જ આ બધું. નાનું આક્રમણ ને મોટું આક્રમણ, બધું આક્રમણમાં જ સમાય અને એનું નામ જ અતિક્રમણ. (પા.૧૧૭)પ્રશ્નકર્તા : એ નાનું આક્રમણ હોય કે મોટું આક્રમણ, બધું અતિક્રમણ જ ? દાદાશ્રી : હા. નથી ખોટો કોઈ જગત માંહીપણ પ્રશ્ન એમણે સારો પૂછ્યો, એ તો પ્રશ્ન પૂછીએ ને સાયન્ટિફિકલી સમજીએ, તો એનો ઉકેલ આવે. નહીં તો આનો ઉકેલ આવે નહીં. એટલે મારું શું કહેવાનું છે કે, અત્યારે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે ગયા ને ત્યાં લાગે કે આપણે ધાર્યા હતા જ્ઞાની અને નીકળ્યા છે ડોળી ! હવે આપણે ત્યાં ગયા એ તો પ્રારબ્ધના ખેલ છે ને ત્યાં મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરેરે ! આવા નાલાયકને ત્યાં ક્યાં આવ્યો ? એ નેગેટિવ પુરુષાર્થ આપણો મહીં થયો છે, એનું ફળ આપણે ભોગવવું પડે, એને નાલાયક કહ્યાનું ફળ આપણે ભોગવવું પડે, પાપ ભોગવવું પડશે. અને વિચાર આવવો એ સ્વભાવિક છે, પણ તરત જ મહીં શું કરવું જોઈએ પછી ? કે ‘અરેરે ! મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ ?’ એવું તરત જ, સવળા વિચાર કરીને આપણે લૂછી નાખવું જોઈએ. પ્રશ્નકર્તા : માફી માંગી લેવી જોઈએ ? દાદાશ્રી : હા, મનમાં માફી માંગી લેવી જોઈએ. પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : મન-વચન-કાયાથી જાણતાં કે અજાણતાં જે કંઈ ભૂલચૂક થઈ હોય, તેની માફી માગું છું. દાદાશ્રી : હા, ‘મહાવીર’ ભગવાનને સંભારીને કે ગમે તેને સંભારીને, ‘દાદા’ને સંભારીને, પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરેરે ! એ ગમે તેવો હોય, મારા હાથે કેમ અવળું થયું ? સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે, અને ખોટાને ખોટું (પા.૧૧૮)કહેવામાંય દોષ બહુ છે. જબરજસ્ત દોષ ! કારણ કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધે એને ખોટો બનાવ્યો છે. પ્રારબ્ધ એટલે શું ? એના સંજોગોએ એને ખોટો બનાવ્યો, એમાં એનો શો ગુનો ? આ સમજાયું ? આ બધી બહુ ઝીણી વાતો છે. આ શાસ્ત્રોમાં લખેલી ના હોય કે કોઈ સાધુ પાસે જાણવાની ના મળે. એટલે આટલું ટૂંકું મહીં સમજી જાય ને, આ પ્રારબ્ધ ને પુરુષાર્થ, એવું બધું સમજી જાય ને, તો એનું ગાડું સીધું પડી જાય. આ ભાવ ના બગડવા દે કોઈ જગ્યાએ. જ્યાં ભાવ બગડે ને તરત ભાવ સુધારે ત્યાં તો વાંધો જ નથી. અહીં સ્ત્રીઓ બધી જતી હોય, તેમાં કો’ક આપણને કહે કે, ‘આ પેલી જોને વેશ્યા, અહીં આવી છે, ક્યાં પેઠી છે ?’ એવું તે કહેશે, એટલે એને લીધે આપણેય વેશ્યા કહી, એ ભયંકર ગુનો આપણને લાગે. એ કહે છે, કે ‘સંજોગોથી મારી આવી સ્થિતિ થઈ છે. તેમાં તમે શું કરવા ગુનો કરો છો ? હું તો મારું ફળ ભોગવું છું, પણ તમે ગુનો કરો છો પાછો ?’ વેશ્યા તે એની મેળે થઈ છે ?’ સંજોગોએ બનાવી છે. કોઈ જીવ માત્રને ખરાબ થવાની ઇચ્છા જ ના થાય. સંજોગો જ કરાવડાવે બધું. અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે. શરૂઆત એને સંજોગો કરાવડાવે છે. ન થાય એ બુદ્ધિથીપ્રશ્નકર્તા : એવું તો આખા મનુષ્ય જીવનમાં કોઈને કોઈ જગ્યાએ ભૂલ તો થાય જ ને ? દાદાશ્રી : ના, એ ભૂલ થાય, પણ એ ભૂલને આપણે જાણીએ, અને સાચા ન્યાયાધીશ આપણે થઈએ, તો ભૂલ આપણને દેખાય કે, આ ભૂલ થઈ છે. માટે ભૂલનો આપણે ડાઘ કાઢી નાખીએ, પ્રતિક્રમણ કરીને. પ્રશ્નકર્તા : પણ એ બુદ્ધિથી કરવું પડે ને ? (પા.૧૧૯)દાદાશ્રી : નહીં, બુદ્ધિથી નહીં. અમે જે જ્ઞાન આપીએ છીએ એ જ્ઞાન-પ્રકાશથી કામ થાય છે. બુદ્ધિ તો ભૂલ દેખવા જ ના દે ને ! બુદ્ધિ વકીલ છે, એટલે કે ભૂલ દેખવા જ ના દે. પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી અંતરાત્મા થાય ત્યારે બધા દોષો ઓછા થતા જાય ? દાદાશ્રી : દોષો દેખાતા જાય ને ઓછા થતા જાય. દેખાતા જાય ને ઓછા થતા જાય. પોતાના દોષ ભણી દ્રષ્ટિ વળી જાય એને, જ્યાં સુધી જીવાત્મા છે, મૂઢાત્મા છે, ત્યાં સુધી પારકાના દોષ જોતાં આવડે. પોતાના દોષ પૂછીએ તો કહેશે, ‘મારામાં તો બે-ત્રણ દોષ છે, મારામાં નથી, આ આનામાં છે, એ તો બહુ નર્યો દોષનો ટોપલો છે,’ કહેશે ! અજ્ઞાન દશામાં પ્રતિક્રમણ થાય ?પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ જે છે એ ફક્ત મહાત્માઓ માટે જ છે કે જેમણે જ્ઞાન નથી લીધું એમના માટે પણ છે ? દાદાશ્રી : એવું છેને, કે જ્ઞાન નથી લીધું તેને માટે આ પ્રતિક્રમણ તો છે, તે આમ શબ્દ બીજા બધાને માટે વપરાય. તે આમ શબ્દ જ, પણ બીજા લોકોને પ્રતિક્રમણ રહે શી રીતે ? જાગૃતિ હોય જ નહીંને ! જાગૃતિ વગર રહે શી રીતે ? એ જાગૃતિ કયા કાળમાં હતી ? ઋષભદેવ ભગવાન ગયા પછી બાવીસ તીર્થંકરોના વખતમાં બધા શિષ્યો જાગૃત રહેતા હતા. તે નિરંતર ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરતા’તા. જ્યારે ત્યારે આપણે જ્ઞાન આપીએ તો જ એની જાગૃતિ હોય, નહીં તો જાગૃતિ હોય નહીં. એ તો ઊઘાડી આંખે ઊંઘે છે, એવું શાસ્ત્રકારોએ કહેલું. પ્રશ્નકર્તા : જેને જ્ઞાન નથી, તેઓ અમુક પ્રકારના દોષો જ જોઈ શકે ? (પા.૧૨૦)દાદાશ્રી : એ બસ. એટલું જ. દોષની માફી માગતાં શીખો એવું ટૂંકમાં કહી દેવું. જે દોષ તમને દેખાય, તે દોષની માફી માંગવાની અને તે દોષ બરાબર છે એવું ના બોલશો ક્યારેય પણ. નહીં તો ડબલ થઈ જશે. ખોટું કર્યા પછી ક્ષમા માંગી લ્યો. પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું નથી, એને પોતાની ભૂલો દેખાય છે તો એ કેવી રીતે પ્રતિક્રમણ કરે ? દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય, પણ એવા થોડા જાગૃત માણસો હોય છે, કે જે પ્રતિક્રમણને સમજે છે. એ તે કરે, એટલે બીજા લોકોનું કામ જ નહીં, પણ પ્રતિક્રમણ શબ્દનો અર્થ આપણે એને પશ્ચાત્તાપ કરવાનું કહેવાનું. શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી પ્રતિક્રમણ શાને ?પ્રશ્નકર્તા : દાદા, હજુ મને પેલું સમજાતું નથી કે એક શુદ્ધાત્માપદ આપી દીધું પછી શાને પ્રતિક્રમણ કરવાનું ? હોય જ નહીંને ? દાદાશ્રી : ના, પ્રતિક્રમણ કરીએ તોય વાંધો નથી. પ્રશ્નકર્તા : કરવાનું એવું મને નથી. પણ કઈ રીતે કરવું ? કાં ચંદુલાલ હોઉં કાં હું શુદ્ધાત્મા હોઉં. દાદાશ્રી : પ્રતિક્રમણ આપણે પોતાને નથી કરવાનાં. આત્માને પ્રતિક્રમણ નથી કરવાનાં. આત્માને કરવાનાં હોય તો તો એ હોય જ નહીં, આ તો ‘ચંદુલાલ’ને આપણે એમ કહેવાનું, પાડોશી તરીકે, કે ભઈ, આવું અતિક્રમણ શું કરો છો ? પ્રશ્નકર્તા : પણ દાદા, પાડોશમાં આપણે શું કરવા જઈએ ? દાદાશ્રી : પાડોશી એ આપણી પોતાની પહેલાંની ભૂલોનું પરિણામ છે. એ આપણી ગનેગારી છે. વાત કરું તને, એ વાત સાંભળ. એક છોકરો આ અમદાવાદ શહેરમાં જરા શોખમાં ચઢી ગયો હોય અને બેએક હજાર રૂપિયા દેવું (પા.૧૨૧)કરી નાખ્યું હોય. હવે એ છોકરાએ આજથી એમ નક્કી કર્યું હોય કે, મારે એક પાઈ પણ દેવું નથી કરવું. આજે નક્કી કર્યું અને એક્ઝેક્ટલી એમ જ વર્તે, એક પાઈ દેવું ના કરે અને જેટલો પગાર છે તે ઘેર લાવીને આપી દે. છતાં પણ જે પાછલું દેવું છે તે તો ચૂકવવું જ પડશેને કે નહીં ચૂકવવું પડે ? હવે નથી કરવું છતાં શાથી પાછલું દેવું ચૂકવવું પડે ? એવું આ ‘ચંદુલાલ’ એ પાછલી ભૂલોનું ફળ છે. તે તો ચોપડે, એનો ઉકેલ તો લાવવો જ પડશેને ? પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાન લીધા પછી કોઈ પ્રતિક્રમણ ના કરવાં પડેને ? દાદાશ્રી : ન કરે તો વાંધો નથી. આ કરવું એવું કંઈ ફરજિયાત નથી. પ્રશ્નકર્તા : મારે કરવાનો સવાલ નથી. મારો એનો વિરોધ પણ નથી. પણ મને સમજવું છે આ. એવો પ્રશ્ન ઊભો થયા કરે છે. દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી શું થાય છે ? કે આત્મા એના ‘રિલેટિવ’ ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે, રીયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે અને હવે એમાં ઈન્ટરેસ્ટ (રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે. પ્રશ્નકર્તા : એ મને હજુ નથી બેસતું. દાદાશ્રી : તારા ફાધરને તારાથી ખરાબ લાગ્યું, એ તેં અતિક્રમણ કર્યું. હવે એમને ખરાબ લાગ્યું, તેને તારે ઉત્તેજન આપવાનું કે ડિસ્કરેજ કરવાનું ? ‘ચંદુલાલ’ને તમારે શું કરવો જોઈએ ? પ્રશ્નકર્તા : હું માનું છું કે એમને ખરાબ લાગે એવું ના જ કરવું જોઈએ. દાદાશ્રી : ના. એ તો થઈ જાય. અતિક્રમણ થઈ જ જાય એ (પા.૧૨૨)તો. અતિક્રમણ કોનું નામ કહેવાય ? એની મેળે થઈ જાય. કોઈને અતિક્રમણ કરવું જ નથી હોતું. પ્રશ્નકર્તા : પણ તે આપણે જાણી-બૂઝીને કર્યુ હોય તો બરાબર છે. દાદાશ્રી : જાણી-બૂઝીને તો કોઈ કરે નહીં. જાણી-બૂઝીને થાય એવુંયે નથી. એ કરવું હોય તોય નથી થાય એવું. પ્રશ્નકર્તા : તો દાદા, અતિક્રમણ કર્યું જ કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : તારા ફાધરની જોડે વધારે પડતું બોલી ગયો. આ બોક્સિંગ (લડાઈ) કરી તો પ્રતિક્રમણ કરો કે ના કરો ? પ્રતિક્રમણ ના કરો તો, તો તમે અતિક્રમણના પક્ષના છો એમ ઠરશે અને પ્રતિક્રમણ કરો તો તમારો પક્ષ શેમાં છે ? પ્રતિક્રમણમાં. પ્રશ્નકર્તા : એવો ભાવ નથી કે અતિક્રમણ કરું. દાદાશ્રી : ભાવ એવો નથી છતાં પણ તમે અતિક્રમણના પક્ષના છો. જો તમે એ વિરોધીભાવ નહીં ફેરવો તો તમે આ અતિક્રમણ પક્ષના છો જ. એટલે પ્રતિક્રમણ કરો. એટલે તમે અતિક્રમણ પક્ષના નથી એવું થયું. કોઈના પગ પર આપણો બૂટ આવે તો આપણે સોરી કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ ? પ્રશ્નકર્તા : એ કહેવું જોઈએ. એ બરાબર છે. દાદાશ્રી : તે એનું નામ જ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ બીજું કંઈ નથી. પ્રશ્નકર્તા : હા. એ અર્થમાં જ ને ? બાકી તો નહીં ને ? દાદાશ્રી : એને જ પ્રતિક્રમણ કહું છું. આપણે જેમ ‘સોરી’ કહીએ છીએ ને, એ એના જેવું બધું. એને આપણે પ્રતિક્રમણ કહીએ છીએ. (પા.૧૨૩)પ્રશ્નકર્તા : આપણાથી અતિક્રમણ થઈ ગયું, તેનું હું પ્રતિક્રમણ કરું, પણ સામો મને માફ ના કરે તો ? દાદાશ્રી : સામાનું જોવાનું નથી. તમને કોઈ માફ કરે કે ના કરે. તે જોવાની જરૂર નથી. તમારામાંથી આ અતિક્રમણ સ્વભાવ ઊડી જવો જોઈએ. અતિક્રમણના વિરોધી છો, એવું થવું જોઈએ. પ્રશ્નકર્તા : અને સામાને દુઃખ્યા કરતું હોય તો ? દાદાશ્રી : સામાનું કશું એ જોવાનું નહીં. તમે અતિક્રમણના વિરોધી છો એવું નક્કી થવું જોઈએ. અતિક્રમણ તમારે કરવાની ઇચ્છા નથી. અત્યારે થઈ ગયું એને માટે પસ્તાવો થાય છે. અને હવે અમને એવું ફરી કરવાની ઇચ્છા નથી. પ્રશ્નકર્તા : સામાને સોરી કહેવાની હિંમત આવી ગઈ છે, અતિક્રમણ થાય પછી હું પ્રતિક્રમણ કરી લઈશ. દાદાશ્રી : આ વર્લ્ડમાં એવો કોઈ માણસ જન્મ્યો જ નથી કે એક વાળ પૂરતું કશું કરી શકે. પ્રશ્નકર્તા : અતિક્રમણ ઈન્ટેન્શનલી (ઈરાદાપૂર્વક) થતું હોય, એકબીજાને કાપી નખાતું હોય તો કેમ ચાલે ? પછી પ્રતિક્રમણ કરીને છૂટી જવાય ? દાદાશ્રી : તો બીજું શું કરવું ? આ ભ્રાંતિમાંથી પાછા ફરવાની બધી પ્રક્રિયા છે. એમાં આપણને મહીં ઊંડા ઊતરવામાં ફાયદો નહીં. આપણે કામ સાથે કામ રાખવું. આપણે ત્યાં કશું પૂછવા જેવું રાખ્યું જ નથી. આજ્ઞા જ પાળવાની છે, પૂછવું હોય તો કો’ક ફેરો પૂછવું. પણ બહુ ચૂંથાચૂંથ ના કરવી. નહીં તો ખસી જશે મહીં. બુદ્ધિના ચાળે ચઢી જાય પછી. એ બધા બુદ્ધિના ચાળા છે આ ! આ જ્ઞાન એવું છે કે કશો શબ્દ જ પૂછવો ના પડે. (પા.૧૨૪)ટૂંકું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : હવે બીજી એક વાત પૂછું કે પ્રતિક્રમણ ધારો કે લાંબું કરતાં ના આવડે, એકદમ ઝપાટાબંધ કરતાં ના આવડે, ભૂલ થઈ ગઈ હોય, અંદર તો ખબર પડે કે આ આવું ન બોલવું જોઈએ, તો એ પ્રતિક્રમણ ગણાય ? દાદાશ્રી : હા. એ પ્રતિક્રમણ છે, એટલું જ હોવું જોઈએ. એ આપણો અત્યારનો અભિપ્રાય છે, એ રીતે ધોઈ નાખવું. હવે એ પ્રતિક્રમણ એક્ઝેક્ટ (યથાર્થ) ના કહેવાય. પણ એ અભિપ્રાયથી દૂર થયો ને ? પ્રશ્નકર્તા : તો ખરું શું ? એવું ટૂંકું કરાય ? દાદાશ્રી : એમાં કશો વાંધો નહીં. પ્રતિક્રમણ ના કરે તો ચાલે ત્યાં આગળ એ પ્રતિક્રમણ જ છે. પણ એવું જો કાયમ માટે બોલીએ તો બધા આવું જ ઠોકાઠોક કરે પછી. એ તો અમુક સંજોગોમાં એવું થઈ જાય તો વાંધો નથી, એ ચાલે. એ પ્રતિક્રમણ જ છે. આમ હોવું ન ઘટે એ પ્રતિક્રમણ જ છે. આપણો અભિપ્રાય ફર્યો ને ! જેમ-તેમ અભિપ્રાય ફેરવવાનો છે. ન બનશો વિરોધી પ્રતિક્રમણનાપ્રતિક્રમણ તો આપણે એ અભિપ્રાય કાઢી નાખવા માટે કરવાનું છે. આપણે એ મતમાં રહ્યા નથી, એવું કાઢવા માટે કરવાનું છે. અમે આ મતમાં વિરુદ્ધ છીએ, એવું દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. શું સમજાયું તને ? પ્રશ્નકર્તા : જે અતિક્રમણ થઈ ગયું એના વિરોધી છીએ, એ દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. દાદાશ્રી : હા, આપણને આ ઇચ્છા નથી, આવું ફરી કરવાની. આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. (પા.૧૨૫)પ્રતિક્રમણ ના કરીએ તો આપણી એ ઇચ્છા રહી ગઈ કહેવાય. પ્રશ્નકર્તા : પણ આપણને તો બધો નિકાલી ભાવને ? દાદાશ્રી : હા, નિકાલી જ ભાવ છે બધો, બધોય નિકાલી જ છેને, પણ તમારે સ્વભાવમાં રાખવું હોય તો રાખવું, એનો વાંધો નથી. પ્રશ્નકર્તા : જો એ નિકાલી હોય તો પછી પ્રતિક્રમણ શા માટે ? દાદાશ્રી : બધું જ નિકાલી છે, એકલું જ નહીં, બધું જ નિકાલી છે. પ્રતિક્રમણ તો અતિક્રમણ કરે એટલું જ છે તે પ્રતિક્રમણ કરવાનું, બીજું નહીં અને ના કરીએ તો આપણો સ્વભાવ કશો ના બદલાય, એવો ને એવો જ રહેને ? તને સમજાયું કે ના સમજાયું ? નહીં તો વિરોધી તરીકે જાહેર નહીં થાય તો પછી એ મત તમારી પાસે રહેશે. ગુસ્સે થઈ જાવ તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે. નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ ગયું. અને પ્રતિક્રમણ કરો તો આપણને ગુસ્સો ગમતો નથી, એમ જાહેર થયું કહેવાય. એટલે એમાંથી આપણે છૂટા થઈ ગયા. મુક્ત થઈ ગયા આપણે, જવાબદારી ઘટી ગઈ. આપણે એના વિરોધી છીએ. એવું જાહેર કરવા માટે કંઈ સાધન તો હોવું જોઈએ ને ? ગુસ્સો આપણામાં રાખવો છે કે કાઢી નાખવો છે ? પ્રશ્નકર્તા : એ તો કાઢી નાખવો છે. દાદાશ્રી : જો કાઢી નાખવો હોય તો પ્રતિક્રમણ કરો. તો પછી ગુસ્સાના વિરોધી છીએ અમે ભઈ. નહીં તો ગુસ્સામાં સહમત છીએ, જો પ્રતિક્રમણ ના કરીએ તો. પ્રશ્નકર્તા : જે થવાનું હતું તે થઈ ગયું. પછી આપણે પ્રતિક્રમણ કરો કે ના કરો, એમાં ફરક જ ના પડે ને ? દાદાશ્રી : ચાલે એવું છે. પણ હવે આ જો વધારે કરો તો બહુ (પા.૧૨૬)ફાયદા થઈ પડે, હોં કે. તમારે ચાલે એવું કરવું છે કે વધારે કરવું છે ? પ્રશ્નકર્તા : કરવાની વાત નથી, હું તો સાયન્ટિફિકલી (વૈજ્ઞાનિક ઢબથી) પૂછું છું. દાદાશ્રી : બધું જ નિકાલી છે, પણ અતિક્રમણ થાય ત્યાં આપણે વિચારી લેવું જોઈએ. નહીં તો પછી આપણો સ્વભાવ આપણામાં રહી જાય. આપણે આના સ્વભાવના વિરોધી છીએ. એવું નક્કી તો થવું જ જોઈએ. આપણે એમાં સહમત નથી એ નક્કી હોવું જોઈએ. પ્રશ્નકર્તા : સહમત નથી એવું નક્કી થઈ ગયું હોય તો પછી એ પ્રતિક્રમણ તો મનમાં જ કરવાનું હોય છે ને ? દાદાશ્રી : એ તો મનમાં જ. બધું જ મનમાં કરવાનું હોય છે. બીજું કશું કરવાનું નહીં. બોલવા જવાનું નહીં, મોઢે નહીં કરવાનું. આપણે એના વિરોધી છીએ. પ્રતિક્રમણ ના કરીએ પણ ‘આ આપણને ગમતું નથી’ એટલું બોલીએ તોય બસ થઈ ગયું. તમે છૂટા થયા એનાથી. એ તમારે પેલી ભાંજગડમાં ન રહેવું. પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ એટલે ક્રમિકમાં થોડા પેઠા ? દાદાશ્રી : ક્રમિક માર્ગમાં પેઠા એટલા માટે નથી આ. આપણે આ સ્વભાવના વિરોધી છીએ. એવું કંઈ નક્કી ના થાય, ત્યાં સુધી સ્વભાવ આપણી પાસે પડી રહેશે. એવું આ બહુ ઝીણી વાત છે. જો આપને સમજાય તો તમારું કલ્યાણ કરી નાખશે. ગાળ ભાંડી તેનો વાંધો નથી પણ ગાળ ભાંડવાના અમે વિરોધી છીએ. એ તો હોવું જ જોઈએ ને આપણે ? પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ, પણ સામો માણસ તો કર્મ જ બાંધે ને ? દાદાશ્રી : એ તમારે જોવાનું નથી. તમારે મનમાં કહી નાખવાનું તો તમે છૂટા. (પા.૧૨૭)એ બધો વ્યવહાર નિકાલીપ્રશ્નકર્તા : આ તો કંઈક એવો પ્રસંગ બન્યો અને અતિક્રમણ કરતાં પહેલાં તો આપણે આ ડિસ્ચાર્જ ભાવ (નિર્જરતા ભાવ) છે, મારા ભાવ નથી, એવું રહે તો એ પ્રતિક્રમણ નથી ? દાદાશ્રી : એવી તમારા જેવી જાગૃતિ બધાને ના રહે, ‘આ મારા નથી’ એવી જાગૃતિ બધાને ના રહે. એના કરતાં આવું ગાડું-ઘેલું શીખવાડ્યું સારું પડે. પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કહે છે એ કંઈ પોતાના ભાવ ઓછા માની લે છે ? દાદાશ્રી : ના. એમનું કહેવું ખરું છે કે આ ભાવ મારા નથી, એટલું જ દેખાડવા માટે જ આપણે પ્રતિક્રમણ કહેવા માંગીએ છીએ. બધાને તો ‘આ ભાવ મારા નથી’ એવી જાગૃતિ ના રહેતી હોયને ! સમભાવે નિકાલ કરવો ને કોઈને અતિક્રમણ ના થાય, એ બધો નિકાલી વ્યવહાર છે. અતિક્રમણ ના થવું જોઈએ છતાં અતિક્રમણ થઈ જાય તો પ્રતિક્રમણ કરો. તો એ નિકાલી વ્યવહાર તરીકે ચાલ્યું ગાડું ! પ્રતિક્રમણ કરે અતિક્રમણ કરનારોજ્યારે અમે જ્ઞાન આપીએ ત્યારે પોતાના દોષ બધા દેખાતા થાય. ત્યાં સુધી બીજાના દોષ દેખાય પણ પોતાનો દોષ દેખાય નહીં. બીજાના ખોળવા હોય તો બધા સો ખોળી આપે. પોતાના તો મોટા મોટા બે-ત્રણ હોય તે દેખાય, બીજા દેખાય નહીં. હવે જ્ઞાન મળ્યા પછી, બરાબર પોષાયને છોડવો મોટો થયો, કે તરત દોષ બધા દેખાતા શરૂ થાય. આ તમને શું દેખાય છે રોજ ? પોતાના દોષ દેખાય છે કે બીજાના ? પ્રશ્નકર્તા : પોતાના જ. દાદાશ્રી : એટલે પોતાના દોષ દેખાય એ મોટા હોય તો (પા.૧૨૮)પ્રતિક્રમણ કરવાનું અને નાનો હોય તોય પ્રતિક્રમણ કરવાનું. ‘જેણે’ દોષ કર્યા’તા ‘તેણે’ જ પ્રતિક્રમણ કરવાનું. એટલે ‘ચંદુલાલે’ પ્રતિક્રમણ કરવાનું. તમારે કશું કરવાનું ના હોય. આપણે ચંદુલાલને કહેવાનું કે પ્રતિક્રમણ કરો. અને બીજા દોષ તો જોવા માત્રથી જતા રહે, બીજા હલકા પ્રકારના દોષ હોય તે, પણ દોષો બધા દેખાય ત્યારે જાય, ત્યારે નિર્દોષ થાય. એક પણ દોષ તમને આ દુનિયામાં કોઈનો દેખાય નહીં, તમને મારે તોય તમને દોષ ના દેખાય એવી દ્રષ્ટિ મેં આપેલી બધી. તમને દોષ દેખાય છે ? પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે. દાદાશ્રી : અને બીજાનો કોઈ દોષ દેખાઈ ગયો હોય તો પ્રતિક્રમણ કરો તરત ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : તમને કોઈના પર એટેક (આક્રમણ)નો વિચાર ના આવે. તમને ગાળો ભાંડે કે માર મારે કે નુકસાન કરે, પણ તેના તરફ એટેકનો વિચાર ના આવે કોઈ દિવસ. અને જગત આખું સાધુ-સંન્યાસીઓ બધા એટેક કરે, ‘ક્યા હૈ, ક્યા કહા, ઐસા કરેંગે, વૈસા કરેંગે.’ અને આમને એટેકનો વિચાર ના આવે, એનું નામ ‘જ્ઞાની ભક્ત.’ જ્ઞાની ભક્ત એટલે છૂટો થઈ ગયો. દોષ ઘટે તે સાચું પ્રતિક્રમણપ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. અને આ દોષ તો ગુણાકાર કરે છે. તમે કોઈ પ્રતિક્રમણ, સાચું પ્રતિક્રમણ જોયું. એકુય દોષ ઓછો થાય એવું ? (પા.૧૨૯)પ્રશ્નકર્તા : ના, અહીં જ જોવા મળ્યું. દાદાશ્રી : આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એકલું મોક્ષમાર્ગનું સાધન છે, બીજું કોઈ સાધન નથી આ જગતમાં. બીજું સાધન એટલું કે જ્ઞાની પુરુષથી જ્ઞાન મળે પછી આ કામ લાગશે. ને તે પહેલાંય જો કરેલું હશે તો દોષ મંદ થઈ ગયા હશે. પણ એ એટલું પ્રતિક્રમણ રહી શકે નહીં, જાગૃતિ ના રહી શકે માણસને. જ્ઞાન લીધા પછી આપણને અંદર ખબર પડે, દોષ થયો છે આ. તો જ પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ થાય નહીંને ! જ્ઞાન લીધા પછી એની જાગૃતિ રહેશે કે, આમ અતિક્રમણ થાય કે તરત તમને ખબર પડશે. આ ભૂલ થઈ એટલે તરત જ પ્રતિક્રમણ કરે. એટલે એના નામનું બધું પદ્ધતિસર પ્રતિક્રમણ થયા જ કરશે. અને પ્રતિક્રમણ થયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે સામાને ડંખ ના રહે પછી. નહીં તો પછી આપણે પાછા ભેગા થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય. એવું કશું થાય તો ભેદ પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કારખાનામાંય કોઈ જોડે અતિક્રમણ થઈ જાય, એનું આપણે પ્રતિક્રમણ કરીએ તો એનું મન આપણી જોડે બંધાય, નહીંતો મન છૂટી જાય. પાપ ધોવાયાની પ્રતીતિપ્રશ્નકર્તા : અમારાં પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું ? દાદાશ્રી : પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો ધો કરવો. પ્રશ્નકર્તા : એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે પડે ? દાદાશ્રી : એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય. (પા.૧૩૦)મોઢા પર મસ્તી આવે. તમને ખબર ના પડે ? ડાઘ જ જતો રહેલો ? કેમ ના પડે ? વાંધો શું આવે છે ? અને ના ધોવાય તોય આપણને વાંધો નથી. તું પ્રતિક્રમણ કરને. તું સાબુ ઘાલ્યા જ કરજે ને ! પાપને તું ઓળખે છે ? પાપને તું ઓળખે છે ખરો ? પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞા ના પળાય એટલે પાપ ? દાદાશ્રી : ના, એવું નહીં, એને પાપ ના કહેવાય. સામાને દુઃખ થાય એ પાપ. કોઈ જીવને, એ પછી મનુષ્ય હો કે જાનવર હો કે ઝાડ હો. ઝાડને આમ વગર કામનાં પાંદડાં તોડતોડ કરીએ તો એનેય દુઃખ થાય. એટલે એ પાપ કહેવાય. અને આજ્ઞા ના પળાય એ તો તમને પોતાને જ નુકસાન થાય. પાપકર્મ તો કોઈને દુઃખ થાય તે. એટલે સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : મનુષ્ય એના સ્વભાવ પ્રમાણે કરતો હોય તો એમાં એને પુણ્ય-પાપ લાગે ? દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પાપ લાગે. એ સ્વભાવ પ્રમાણે કરે છે, પણ એણે સમજવું જોઈએ કે મારાથી સામાને દુઃખ થાય છે. એટલે મારે એની માફી માંગી લેવી જોઈએ કે મારો સ્વભાવ વાંકો છેને, તેથી દુઃખ થયું છે તેમને, એટલે માફી માગું છું. આપણે પ્રતિક્રમણ કરીએ તો બહુ સારું. આપણાં કપડાં ચોખ્ખાં થાયને ? આપણાં કપડાંમાં શું કામ મેલ રહેવા દઈએ ? આવો, દાદાએ રસ્તો દેખાડ્યો છે. તો શા માટે ચોખ્ખાં ના કરી નાખીએ ? ભૂલ નહીં ત્યાં નહીં ભોગવટોકોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો (પા.૧૩૧)પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. દાદાને કેમ ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માંગી જમા કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઉધાર થાય પણ તરત જ કૅશ - રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ, તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ (બાકી) ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય. પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરીને ? દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. ‘આ’ ‘જ્ઞાનીપુરુષો’ની કૂંચી કહેવાય. તેનાથી ગમે-તેવાં તાળાં ઊઘડી જાય. એટલે પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. કાં તો જ્ઞાનીપુરુષ તમને તારે તો થઈ જાય. જ્ઞાનીપુરુષ તારી શકે. તમે એમ કહો કે, મને બચાવો, તો બચાવે. એમને એમ નથી કે મારે કશી ફી લેવાની. કારણ કે અમૂલ્ય ચીજની ફી કેટલી આપે ? ને આ મૂળો તો મૂલ્યવાન કહેવાય ! મૂળો તો દસ પૈસાનો. જો મૂલ્યવાન છે ને ? અને આ તો અમૂલ્ય ચીજ કહેવાય. એટલે આનું મૂલ્ય-બૂલ્ય ના હોય. અમૂલ્ય ! અમૂલ્ય !! એટલે આમ કિંમત ના હોય ! દોષ તો થયા વગર રહે જ નહીં ને ! નર્યા દોષ જ થયા કરવાના. એ દોષ તમને દેખાયા કરે. દોષ દેખાયા એટલે આ દોષનું (પા.૧૩૨)પ્રતિક્રમણ કરવાનું, પશ્ચાત્તાપ કરવાનો અને ફરી એવું નહીં કરું, એવું પ્રત્યાખ્યાન કરવાનું. એ ‘શૂટ ઑન સાઈટ’ કહેવાય. દોષ થયો કે તરત એને ધોઈ નાખો. એવું તમારે તરત ધોવાની ઈચ્છા છે કે બાર મહિને ? એથી તો ઊંધા ગયા ઊલટાપ્રશ્નકર્તા : ક્રમિકનાં પ્રતિક્રમણ કરતા હતા ત્યારે મગજમાં કંઈ બેસતું ન હતું ને અત્યારે આ કરીએ છીએ તો હલકાં ફૂલ થઈ જવાય છે. દાદાશ્રી : પણ એ તો બધાં તમે અણસમજણથી કરેલા પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ એટલે તરત દોષ ઘટવો જોઈએ, એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આપણે ઊંધા ગયેલા, તે પાછા ફર્યા એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આ તો પાછા ફર્યા નહીં ને ત્યાં ને ત્યાં જ છે ! ત્યાંથી આગળ ગયા છે ઊલટા !!! એટલે એને પ્રતિક્રમણ કહેવાય જ કેમ કરીને ? ગત જન્મોનાં પ્રતિક્રમણોપ્રશ્નકર્તા : અતિક્રમણ ક્યારે થાય છે, કે કંઈક પાછલા જન્મોના હિસાબ હશે ત્યારેને ? દાદાશ્રી : હા, ત્યારે થાય. પ્રશ્નકર્તા : એટલે આપણા માટે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે પાછલા બધા જન્મોનાં પાપ માટેનું બધું પ્રતિક્રમણ થાય છે ? દાદાશ્રી : એ હિસાબ આપણે તોડી નાખીએ છીએ. એટલે આપણા લોક ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરે છે. એટલે આપણા દોષ તરત નિર્મૂળ થઈ જાય છે. મોટા દોષનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : આપણો મોટો દોષ દેખાય તો એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? (પા.૧૩૩)દાદાશ્રી : પ્રતિક્રમણ તો મૂળ શબ્દોની રીતે હોય છે, પણ એ શબ્દોની જંજાળ સ્તોને ? એના કરતાં ના આવડે તો કહીએ, હે દાદા ભગવાન ! અગર તો જે ભગવાનને માનતો હોય તે ભગવાનને યાદ કરવા કે મારાથી આ ભૂલ થઈ, આ ભઈની જોડે વધારે ગુસ્સો થઈ ગયો, માટે હું ક્ષમા માગું છું. પસ્તાવો કરું છું, ફરી આવું નહીં કરું. બસ આટલું જ બોલો તોય ચાલે. બાકી શબ્દોની જંજાળ તો બહુ. મોટા શબ્દો ચીતરેલા હોય બધા, પણ એ ક્યારે પાર આવે ? એ બોલ બોલ કરીએ તો. પણ આ ટૂંકું બોલી જવું. પરિણામિક પ્રતિક્રમણસામાની ભૂલ હોય તોય આપણે માફી માંગી લેવી. પ્રશ્નકર્તા : બધાની વચમાં, દાદાની સાક્ષીએ, દરેક પોતાની ભૂલોની માફી માંગી લે તો ? દાદાશ્રી : એ તો એક જાણે કે બિગિનિંગ (શરૂઆત) કહેવાય. તેથી કંઈ ધોવાઈ જતું નથી. પ્રતિક્રમણ તમારે એવું કરવું જોઈએ કે સામો બોલતો આવે. અત્યારે મારી હાજરીમાં શરૂઆત કરવી. જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. ‘અમે તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં, અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે. આ તો ગૂંચ શબ્દની તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય બોલો, દયા રાખો, ચોરી નહીં કરો.’ એ સાંભળી સાંભળીને તો થાકી ગયા છે. મહીં ગૂંચ પડી હોય તો તે ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચનો ઉકેલ લાવવો જોઈએ. છેવટે કશો ઉકેલ ના જડે તો ભગવાન પાસે માફી માંગ માંગ કરીએ, કે આની જોડે ગૂંચ પડી ગઈ છે તે બદલની માફી માંગ માંગ કરું છું, તોય ઉકેલ આવે. માફી જ મોટામાં મોટું શસ્ત્ર છે. બાકી દોષો તો, નિરંતર દોષો જ થયા કરે છે. (પા.૧૩૪)અહંકાર, પાશવી ને માનવીયસામાને ઠપકો આપો છો તો તમને એમ ખ્યાલ નથી આવતો કે તમને ઠપકો આપે તો શું થાય ? એ ખ્યાલ રાખીને ઠપકો આપો. સામાનો ખ્યાલ રાખીને દરેક કાર્ય કરવું એનું નામ માનવ અહંકાર. આપણો ખ્યાલ રાખીને દરેકની જોડે વર્તન કરવું અને ગોદા મારવા, તો એનું નામ શું કહેવાય ? પ્રશ્નકર્તા : પાશવી અહંકાર. દાદાશ્રી : પહેલાં મારેલા ? નહીં ? પ્રશ્નકર્તા : અત્યારે જ્ઞાન લીધા પછી એવા સંજોગ ઊભા થાય તો શું કરવું ? દાદાશ્રી : જ્ઞાની થયા પછી તો જ્ઞાન જુદું રહે છે એને. એ જુદું રહેતાં આવડે તો એને કશું ના થાય. જુદું રહીને બધું નાટક જોયા કરતો હોય તો તો વાંધો નથી. અને ભેગો થાય તોય પેલો નથી. જુદું ના રહે કશું તોય એ ફાઈલ, પછી ફરી સહી કરવી પડશે, જુદું રહીને. એ ફાઈલ ફરીથી આવશે પછી. સિગ્નેચર (સહી) થઈ નહીં. તોયે રહી જાયને કાગળ, એવું. પણ નિવેડો તો તમારે જ લાવવો પડશે. હું કહું છું. તે બધું આખું સમજાઈ ગયું ? પ્રશ્નકર્તા : હા, દાદા ! દાદાશ્રી : સહી ના થયેલી હોય તો ફરી પાછું પેપર આવશે. એ જોઈ, વાંચી અને સમભાવે નિકાલ કરીએ એટલે ત્યાંથી છૂટી ગયા. હવે એવું ક્યારે ના બને ? કે કર્મ બહુ ચીકણું હોય અને ગાઢ હોય ને ત્યારે માણસ ભૂલથાપ ખઈ જાય એટલે થઈ જાય. આપણે તે ઘડીએ પછી પસ્તાવો કરીએ. એને થઈ ગયા પછી પસ્તાવો થાય ને બળ્યો ! તે પસ્તાવો કરીએ એટલે ઢીલું થયું એટલે આમ તો ફરીવાર આ બાજુમાં આવે ને તો આપણે કરી શકીએ એવી સ્થિતિમાં નરમ (પા.૧૩૫)થઈ ગયું હોય, પસ્તાવો કરવાથી. આપણે કહીએ, ‘ચંદુભાઈ’ પસ્તાવો કરો બા. કેમ અતિક્રમણ કર્યુ ? દાદાનો કાયદો શો છે ? અતિક્રમણ કર્યુ માટે તમે પ્રતિક્રમણ કરો, બસ ! આ કાયદેસર છે ને ? આપણું વિજ્ઞાન તો એક-એક ખૂણામાંથી કાયદેસર હોય. આ વિજ્ઞાન એટલે દરઅસલ વિજ્ઞાન છે. આખું ક્રમિકજ્ઞાન તો ભગવાને કેવળજ્ઞાનમાંથી કહ્યું અને કલ્પનામાં આવ્યું. અને આપણું આય કેવળજ્ઞાનથી કહ્યું, પણ કલ્પના બહારની વસ્તુ છે આ ! પેલામાં તો વિરોધાભાસ જડે, પણ અહીં ના જડે. ભૂલ દેખાડે તેને શાબાશી ?તમારી ભૂલ દેખાડે તો તમે શાબાશી દો ખરા ? પ્રશ્નકર્તા : હવે એ તો જેનો જેવો અહંકાર. દાદાશ્રી : અરે, રામ તારી માયા ! ત્યાં તો શુંનું શું બોલે, મૂઓ ! ત્યાં પાછું તો જુઓ કે, ભઈ મને એવું થાય તો શું કરવું ? પ્રશ્નકર્તા : આ બાબતમાં તો હું પકડી લઉં કે તેં આ બરાબર કર્યું. દાદાશ્રી : ના, ના, ના. કારણ કે પોતાની ભૂલ સાચી જડે નહીં આપણને. એ તો અમુક જ બાબત હોય તો તમે પકડી શકો કે આ મારી ભૂલ થઈ છે. પણ બીજી બાબત ના પકડી શકો. એટલે એ અવળું જ બોલે. ‘ચંદુભાઈ ભૂલ કરે છે’ એમ કોઈ કહે કે ‘તારી ભૂલ છે’ તો આપણેય કહેવું, ‘ચંદુભાઈ, તમારી ભૂલ થઈ હશે ત્યારે જ એ કહેતા હશે ને ? નહીં તો એમને એમ તો કોઈ કહેતું હશે ?’ કારણ કે એમને એમ કોઈ કહે નહીં. કંઈકેય ભૂલ હોવી ઘટે. એટલે આપણે એમાં કહેવામાં વાંધો શો ? ભઈ, તમારી કંઈક ભૂલ હશે માટે કહેતા હશે. (પા.૧૩૬)માટે માફી માંગી લો, અને ‘ચંદુભાઈ’ કોઈને દુઃખ દેતા હોય તો આપણે કહેવું કે ‘પ્રતિક્રમણ કરી લો, બા !’ કારણ કે આપણે મોક્ષે જવું છે. હવે ગમે તેમ એ કરવા જઈએ તે ચાલે નહીં. અન્ડરહેન્ડની ન જોવી ભૂલપ્રશ્નકર્તા : બીજાના દોષ દેખાતા હોય, પોતાના દોષ દેખાતા હોય તો તે જોયા કરવાના ? શું કરવાનું ? દાદાશ્રી : પોતાના દોષ દેખાતા હોય તો અમુક માણસને કહેવાના, અમુક માણસને ના કહેવાય અને અમુક માણસના દોષ દેખાતા હોય તેનું પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકવા, આમ ત્રણ રસ્તા છે. કાં તો દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકી દેવા અને પ્રતિક્રમણ નહીં કરો તો દોષ દેખાતા હોય તો કોના કહેવા, પોલીસવાળાના, મેજીસ્ટ્રેટોના, એમના બધા દોષ કહેવા, કે તમે બધા આવા છો. પણ આ બધા અન્ડરહેન્ડ (આશ્રિત) છે, એના દોષ ના કહેવા. સમજાયુંને ? દરેક વસ્તુ ભૂલથી જ ભરેલી હોય. એટલે બધી ભૂલ તો હોય જ ને ? ભૂલ વગર તો કોઈ ના હોય, કો’કની ભૂલ કાઢવી એ મૂરખનું કામ છે. તને ભૂલ કાઢવી ગમે ? પ્રશ્નકર્તા : બીજાનો દોષ દેખાયોને એ જે ભૂલ થઈ, એનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : લોકોનો દોષ દેખાય એટલે પડતું મૂકે પછી આગળ આપણે શું કરવાનું, કે ‘ઓહોહો ! હજુ તમે બીજાના દોષ જુઓ છો ? એનાં પ્રતિક્રમણ કરો’, એ આપણો દોષ જોયો કહેવાય. એવા પચાસ થાય તો બહુ થઈ ગયું. બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષની માફી-ક્ષમા માંગવી, પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી એમને હેબીટ (ટેવ) હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબીટ (પા.૧૩૭)છૂટે નહીં એકદમ. એ તો આ પ્રતિક્રમણથી છૂટે પછી. જ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો. શૂટ ઑન સાઈટ ! નિશ્ચય કરવો એ શું છે ?પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ થવાં જોઈએ એ થતાં નથી. દાદાશ્રી : એ તો જે કરવું હોય ને, એનો નિશ્ચય કરવો પડે. પ્રશ્નકર્તા : નિશ્ચય કરવો એટલે એમાં કરવાનો અહંકાર આવ્યોને પાછો ? એ શું વસ્તુ છે ? એ સમજાવો. દાદાશ્રી : કહેવા માટે છે, કહેવા માત્ર છે. પ્રશ્નકર્તા : ઘણા લોકો મહાત્માઓમાં એમ સમજે છે કે, આપણે કંઈ કરવાનું જ નહીં, નિશ્ચયે નહીં કરવાનો. દાદાશ્રી : ના, મને પૂછે તો હું એને કહું કે, એ અહંકાર વગર નિશ્ચય શી રીતે થઈ શકે ? એ નિશ્ચય એટલે શું કે ડિસાઈડેડપૂર્વક કરવું. ડિસાઈડેડ એટલે શું ? આ નહીં ને ‘આ’ બસ. આમ નહીં ને આમ હોવું જોઈએ. એવું આપણે રોંગ બિલિફ તો ના કહેવાયને ? પણ આવી રીતે શબ્દથી બોલવું પડે તો વાત પહોંચે. નહીં તો પહોંચે જ નહીંને ! પણ આ પહોંચે. પ્રતિક્રમણ મોડેથી થાય ?પ્રશ્નકર્તા : મહીં ઉત્પાત થયો હોય, ત્યારે ‘શૂટ ઑન સાઈટ’ એનો નિકાલ કરતાં ના આવડે પણ સાંજે દસ-બાર કલાક પછી એમ વિચાર આવે કે આ બધું ખોટું થયું તો એનો નિકાલ થઈ જાય ખરું ? મોડેથી થાય તો ? દાદાશ્રી : હા. મોડેથી થાય તો એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ખોટું થયા પછી પ્રતિક્રમણ કરવું કે આ મારી ભૂલ થઈ હવે ફરી નહીં (પા.૧૩૮)કરું. હે દાદા ભગવાન ! મારી ભૂલ થઈ. હવે ફરી નહીં કરું. પ્રશ્નકર્તા : સ્વરૂપજ્ઞાન લીધા પછી કંઈ કર્મો થાય. દા.ત. કોઈ વખત અતિક્રમણ કોઈની જોડે થઈ જાય. તો તરત જ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થતું નથી. દાદાશ્રી : શા કારણથી થતું નથી ? પ્રશ્નકર્તા : તરત ના થઈ જાય. દાદાશ્રી : તરત ના થાય તો બે કલાક પછી કરો. અરે, રાત્રે કરો, રાત્રે યાદ કરીને કરો. રાત્રે યાદ કરીને ના થાય, કે આજે કોની જોડે અથડામણમાં આવ્યા ? એવું રાત્રે ના થાય ? અરે, અઠવાડિયે કરો. અઠવાડિયે બધા ભેગા કરો. અઠવાડિયામાં જેટલાં અતિક્રમણ થયાં હોય એ બધાના ભેગા હિસાબ કરો. પ્રશ્નકર્તા : પણ એ તરત થવું જોઈએ ને ? દાદાશ્રી : તરત થાય એના જેવી તો વાત જ નહીં. આપણે ત્યાં તો ઘણાંખરાં બધા ‘શૂટ ઑન સાઈટ’ જ કરે છે. દેખો ત્યાંથી ઠાર કરો. દેખો ત્યાંથી ઠાર. અજાગૃતિનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : હું જ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પછી પાછો આવી જઉં એમાં. દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી, વિચાર આવે ત્યારે આપણે ‘ચંદુલાલ’ને જોઈ શકતા હોઈએ, કે ‘ચંદુલાલ’ને વિચારો આવે છે, એ બધું જોઈ શકતા હોઈએ તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે. (પા.૧૩૯)પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે. દાદાશ્રી : તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. દાદા ભગવાન ક્ષમા કરજો. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું. દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું પૂછી લેવું પડે ઝીણવટથી. આ તો વિજ્ઞાન છે. બધું પૂછી લેવાની જરૂર. તમારી ઇચ્છા ખરીને પ્રતિક્રમણ કરવાની છતાંય નથી થતું ? પ્રશ્નકર્તા : હા, ઇચ્છા તો ખરી જ ને ! દાદાશ્રી : હા. અરે ! પ્રેક્ટિસ પડી નથી. તે એ પ્રેક્ટિસ પહેલી પાડવી પડે. પહેલાં બે-ત્રણ-ચાર દા’ડા પ્રેક્ટિસ આપણે પાડવી પડે. આપણને ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં તોય જમતી વખતે જમણો હાથ મહીં પેસી જાય. પ્રશ્નકર્તા : સતત તમારો ખ્યાલ હોય તો પ્રયત્ન નથી કરવો પડતો. સહજાસહજ થઈ જાય છે. દાદાશ્રી : હા. આ બધું સહજાસહજ થઈ જાય એવું છે. આમાં કશું કરવું નથી પડતું. એટલે તમને હું કરી આપીશ. પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ કરું છુંને, આનંદ થાય છે, ગમે છે. પણ જોઈએ એવા દોષો દેખાવા જોઈએને ? એ થતું નથી. દાદાશ્રી : એ હવે દેખાશે. હજુ વાર લાગશે. એ તો પાતળું થશે ત્યારે દેખાશે. હજુ તો જાડું ચાલે છે બધું. પણ આ પ્રતિક્રમણ કરવાથી પાતળું થશે તારું. દોષ દેખાવા સહેલી વસ્તુ નથી. પાછા એકદમ અમે તો ઉઘાડ (પા.૧૪૦)કરી આપીએ, પણ એની દ્રષ્ટિ હોય કે મારે જોવા છે તો દેખાયા કરે. એટલે પોતે જમવાની થાળીમાં હાથ તો ઊંચો કરવો પડેને ? એમને એમ કંઈ જમવાનું મારા મોઢામાં જાઓ, એમ કંઈ ચાલે ? પ્રયત્ન તો હોવા જ જોઈએ ને ? માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલા ‘જ્ઞાનીપુરુષ’ જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ’. સામો સાવ અજાણ ત્યારેપ્રશ્નકર્તા : કોઈ વાર એવું બને ખરું કે આપણને ભૂલ લાગતી હોય છતાં સામા માણસને ધ્યાનમાં પણ ના હોય, એવું બને ખરું ? દાદાશ્રી : હા. એ તો મને બધાની ભૂલ લાગતી હોય, પણ એમને ખબર જ ના હોય. પ્રશ્નકર્તા : એમ નહીં. પણ મને લાગે કે, મેં તમારી ભૂલ કરી. પણ આપને થયું જ ના હોય કે, એણે મારી ભૂલ કરી છે તો હું જે પસ્તાવો કરું એનું શું થાય ? દાદાશ્રી : હા. તો તમે પસ્તાવો કરો કે મેં ભૂલ કરી, તો તમે છૂટી ગયા. પેલાને સમજણ હોય કે ના હોય, એમાં આપણે શું ? પ્રશ્નકર્તા : મને થયું કે, મેં ભૂલ કરી છે ? દાદાશ્રી : હા. એની પોસ્ટ ઑફિસ બંધ હોય, તેમાં આપણે શું ? આપણી પોસ્ટ ઑફિસ ચાલુ છેને ! આપણે અવળો સિક્કો માર્યો. આ અવળો વાગ્યો, તો સવળો મારી દેવાનો. પ્રશ્નકર્તા : અથવા તો એવી બુદ્ધિ જ હશે, કે થોડે થોડે દિવસે કંઈક ભૂલ શોધીને ડખો કર્યા કરે છે ? દાદાશ્રી : એ શું ડખો કરે ? પ્રશ્નકર્તા : કે આ તારી ભૂલ થઈ ગઈ, આવું તારે નહોતું કરવું. (પા.૧૪૧)દાદાશ્રી : હંઅ, તો સારું જ કહે છેને ? પણ આવું ચેતવનારો કોણ મળે ? પ્રશ્નકર્તા : પણ દાદા, કદાચ એ ભૂલ ના થઈ હોય, છતાં. દાદાશ્રી : ના. ભૂલ ના થઈ હોય એવું નહીં, ભૂલ થઈ હોય તો જ કહે. મહીં ચેતવે છે. એ કોણ ચેતવે આ દુનિયામાં ? કોઈ ચેતવવા ના આવે. આ મહીં જ્ઞાન મૂક્યું છે, એ ચેતવ્યા કરે. નિરંતર ચેતવે ! દ્વેષ ગયો તે જ ખુદામહીં પ્રતિક્રમણ એની મેળે થયા કરે. લોક કહે છે, એની મેળે જ પ્રતિક્રમણ થઈ જાય છે ? મેં કહ્યું, ‘હા, ત્યારે કેવુંક મેં મશીન મૂક્યું છે ? તે બધું પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. તારી દાનત ચોક્કસ હોય ત્યાં સુધી બધું તૈયાર હોય. પ્રશ્નકર્તા : એ હકીકત છે દાદા, પ્રતિક્રમણ સહેજે થયા કરે. અને બીજું આ વિજ્ઞાન એવું છે કે સહેજેય દ્વેષ ના થાય. દાદાશ્રી : હા, દ્વેષ ના થાય. પ્રશ્નકર્તા : એ એક અજાયબી છે, દાદા ! દાદાશ્રી : એને જ ખુદા કહેવાય, દ્વેષ ના હોય તેને ખુદા કહેવાય ! એમ ના બોલાયપ્રશ્નકર્તા : આ ભાઈ કહે છે, મારા જેવાને પ્રતિક્રમણ ના થાય એ શું કહેવાય ? દાદાશ્રી : એ તો મહીં થતા હોય પણ ખ્યાલ ના આવે. એટલે એક ફેરો બોલ્યા કે, ‘મને થતાં નથી’ એટલે પેલું બંધ થઈ જાય. પેલું મશીન બંધ થઈ જાય. જેવું ભજે એવી ભક્તિ, એ તો મહીં થયા કરે. અમુક ટાઈમ પછી થાય. (પા.૧૪૨)પ્રશ્નકર્તા : આપણાથી કોઈને દુઃખ થાય એ વસ્તુ આપણને ગમે નહીં. બસ એટલું જ રહે. પછીથી આગળ વધે નહીં. પ્રતિક્રમણ જેવું આગળ થાય નહીં. દાદાશ્રી : એ તો આપણે મહીં જેવું બોલીએ એવું મશીન મૂકેલું છે, તે ચાલે ! જેવું ભજો એવો થઈ જાય. તમે કહો કે ‘મને આમ થતું નથી’ તો એમ થાય. અને કહો, ‘એટલાં બધાં પ્રતિક્રમણ થાય છે કે હું થાકી જાઉં છું.’ તો મહીં પેલું થાકી જાય. એટલે પ્રતિક્રમણ કરનાર કરે છે. તું તારી મેળે હાંક્યે રાખ ને આગળ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ થઈ રહ્યાં હોય છે. તું હાંક્યે રાખને કે ‘મારાથી પ્રતિક્રમણ થાય છે.’ આ વિજ્ઞાન સર્વસ્વ દોષને નાશ કરનારું છે, વીતરાગ બનાવનારું છે. આપણે પ્રતિક્રમણ કરવાં છે એ નક્કી કરીએ એટલે પ્રતિક્રમણ થઈ જાય. ‘નથી થતાં’ બોલીએ તો પછી ઊંધું થાય. નથી થતાં એવું ના બોલવું. થાય જ, કેમ ના થાય ? દરરોજ રાત્રે પ્રતિક્રમણતમારે પ્રતિક્રમણ કાઢી નાખવું છે ? શી રીતે બને ? એ તો એ જ મુખ્ય, એ જ ટિકિટ. પ્રશ્નકર્તા : ઊલટું પ્રતિક્રમણ કેમ વધારે થાય એવું જોઈએ. દાદાશ્રી : હંઅ ! એ જાગૃતિપૂર્વક થાય. રોજ કરવાનું. આખા દિવસનું પ્રતિક્રમણ કરવાનું આમ ઑન ધી મોમેન્ટ. તરત ને તરત ના થતાં હોય તો આખા દિવસનું સંભારી સંભારીને સાંજે કરવાનાં, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. આલોચનામાં દાદા ભગવાનને કહેવું કે, આવું આવું થઈ જાય છે. હજુ આવું ના થવું જોઈએ, છતાં થયું છે. તે બદલ હું પશ્ચાત્તાપ કરું છું, હવે ફરી નહીં કરું એવો નિશ્ચય કરું છું. પ્રશ્નકર્તા : આખા દિવસમાં બન્યું હોય તે અને સવારથી સાંજ (પા.૧૪૩)સુધી બન્યું હોય તે, સાંજના ‘ચંદુલાલ’ની ખબર લઈ નાખું, તમે સાચું-ખોટું શું કર્યું ? તેનો બધો હિસાબ સાંજના કરી લે. દાદાશ્રી : એવું છેને, બને ત્યાં સુધી શૂટ ઑન સાઈટ રાખવું. થઈ ગયું ને તરત જ પ્રતિક્રમણ કરવું. અને ના બને તો સાંજે ભેગા કરીને કરવું. પણ ભેગાં કરવા જતાં રહી જશે બે-ચાર. એ ક્યાં રાખવાં જઈએ ? અને કોણ રાખે એને ? એ તો ‘શૂટ ઑન સાઈટ’નો આપણો ધંધો છે ! નથી જન્મ લઢવા માટેપ્રશ્નકર્તા : દોષો માટે તો સંપૂર્ણ જાગૃતિ રાખવાની છે. એની પાછળ પડવાનું છે ? દાદાશ્રી : દોષોનો નિવેડો લાવવાનો છે. નિકાલ કરી નાખવાનો છે. પ્રશ્નકર્તા : દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં અંદર જે પ્રક્રિયા થાય છે, તેમાં દોષનો નિવેડો આવે છે, શૂટ શબ્દ કરતાં નિવેડો આવે છે ? દાદાશ્રી : એ તો ગમ્મતને માટે શૂટ શબ્દ છે. શૂટ તો શૂરાતન રહે, લોક સાંભળે તો શૂરાતન આવેને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પ્રક્રિયાથી દોષનો એન્ડ આવે, સમાધાન કરીને નિવેડો આવતો હોય છે ? દાદાશ્રી : સમાધાન થાય પછી, શૂટ-બૂટ કરવાનું ત્યાં ન હોય. આપણું વિજ્ઞાન શું કહે છે ? તું પેલાને મારીને આવ્યો તો પ્રતિક્રમણ કર. ખરી રીતે ભગવાન શું કહે છે ? નિવેડો લાવો, નિકાલ કરો. ઠેઠ સુધી લઢશો નહીં, લઢવા માટે જન્મ નથી. ભગવાને ‘માર’ શબ્દ લખવા ન દીધો. ‘માર’ ના લખશો કહે છે. ‘માર’ શબ્દથી જ હિંસાની મહીં શરૂઆત થાય છે. (પા.૧૪૪)ત્યારે જ આયુષ્ય ઊડેપ્રશ્નકર્તા : ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરે છે તે પણ એક ધ્યાનનું પરિવર્તન જ છેને ? દાદાશ્રી : હા, એ ધ્યાનનું જ પરિવર્તન છે. પ્રશ્નકર્તા : ‘શૂટ’ કર્યું એટલે એણે પુદ્ગલને નષ્ટ કર્યું, જે ‘વ્યવસ્થિત’માં હતું તેમાં ડખલ કરી. તો બીજો જન્મ થાય તે કેવો આવે ? દાદાશ્રી : એય એના જેવો ને જેવો જ આવે. જે લિંક છે એવી ને એવી આવે. પ્રશ્નકર્તા : જે ‘શૂટ’ કરીને ફેરવી નાખે છે, તેનું એટલું જ આયુષ્ય કે ટૂંકું ? દાદાશ્રી : એ આયુષ્ય એનું અહીંયાં તૂટી જવાનું હતું, એટલે તે ઘડીયે તૂટવાના બધા ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગા થાય ને આયુષ્ય ઊડી જાય, ભમરડો ઝટપટ ફરી જાય ! તારે કેમનું રહે છે ? પ્રશ્નકર્તા : પાંચસોથી હજાર દોષો દેખાય છે. દાદાશ્રી : જુઓને, રોજ પાંચસો દોષ દેખાય છે. તું અહીં પેપરમાં લખું તો તારે ત્યાં બીજે દહાડે દર્શન કરવા આવે લોકો ! બાકી કોઈને દોષ દેખાતા હશે ? પાંચ દોષ ના દેખાય, મોટા મોટા આચાર્યો છે પણ એમને દોષ ના દેખાય ! હવે તમારી પોતાની કેટલી ભૂલો દેખાય છે મહીં ? પ્રશ્નકર્તા : અનેક. દાદાશ્રી : ત્યારેપછી ? જો એક જ દેખાય તો ભગવાન ગણાય. તો બધી દેખે ત્યારે શું થાય ? (પા.૧૪૫)પ્રશ્નકર્તા : દરેક પળે પળે ભૂલ દેખાય છે, દાદા. દાદાશ્રી : હા, પળે પળે દેખાય અને પળે પળે પ્રતિક્રમણ કરવાં પડે. નહીં ક્રમિકમાં આટલો ઉઘાડ‘શૂટ ઑન સાઈટ’ થયું ત્યારથી એ જ્ઞાની કહેવાય. દોષ દેખાયો અને ‘શૂટ આઉટ’ કરે, એ જ્ઞાની કહેવાય. ક્રમિક માર્ગમાં જ્ઞાનીઓ ‘શૂટ ઑન સાઈટ’ કરે, પણ એમને આવો ઉઘાડ ના હોય. આટલો બધો ઉઘાડ ના હોય. જજમેન્ટ ક્લિઅરપ્રશ્નકર્તા : આપણે દોષોનું પ્રતિક્રમણ તો કરીએ, પણ એવા સામાના ગુણ હોય એ માટે શું કરવું ? એના માટે પ્રતિક્રમણ કરવાં ? દાદાશ્રી : એમાં તો એ ગુણથી, એની સાથે ભાવથી જ આપણું વર્તન સારું હોય. એમાં બીજું કરવાનું હોતું નથી. કર્મ બહુ ચીકણું હોય ને ગાંઠ હોય, ત્યારે માણસ ભૂલ ખાય. એનો પસ્તાવો કરીએ, એટલે એ આવતા ભવમાં ધોઈ શકીએ એવું ઢીલું થઈ જાય. આ પ્રતિક્રમણ કરવાથી દોષ રહે ખરો, પણ તે કેટલો ? કે આ ગાંઠ દેખાય ખરી, પણ આવતા ભવે હાથ અડાડવાથી ખરી પડે. આ પ્રતિક્રમણ કરવાથી બળ મળે, રિફંડ (વળતર) મળે ખરું ! એટલે મહીં પ્રતિક્રમણ થાય તો ધોવાઈ જાય. એને પોતાની ભૂલ દેખાવી જ જોઈએ. શું ભૂલ થઈ તે, તરત ઑન ધી મોમેન્ટ ભૂલ દેખાવી જ જોઈએ. કારણ કે એટલું તો જજમેન્ટ આપણું હોય, જજમેન્ટ ક્લિઅર (સ્પષ્ટ ન્યાય) હોવું જોઈએ. ક્લિઅર જજમેન્ટ હોય તો જ કામ થાય. છાવરે અહંકારનેજ્યારથી દોષ દેખાતો થયો, ત્યારથી જાણવું કે, મોક્ષમાં જવાની (પા.૧૪૬)ટિકિટ આવી ગઈ. પોતાનો દોષ કોઈને દેખાય નહીં, મોટા-મોટા સાધુ-આચાર્યોને પણ ! એમને પોતાના દોષ ના દેખાય. મૂળમાં મોટામાં મોટી ખામી આ. અને આ વિજ્ઞાન એવું છે કે, આ વિજ્ઞાન જ તમને નિષ્પક્ષપાત રીતે જજમેન્ટ આપે છે. પોતાના બધા જ દોષ ખુલ્લા કરી આપે. થઈ ગયા પછી કરી આપે, પણ ખુલ્લા કરી આપે છેને ? હમણે થઈ ગયું, તે થઈ ગયું. એ તો જુદું છે, ગાડીની સ્પીડ (ઝડપ) ભારે હોય તો કપાઈ જાયને ? પણ ત્યારે ખબર પડીને ? કોઈનેય ખબર ના પડે ! આ સાધુ-સંન્યાસી, આચાર્યોને, કોઈનેય ખબર ના પડે કશી ! દોષ થયેલો ખબર ના પડે. ને ‘શૂટ ઑન સાઈટ’ કરે નહીં. વખતે પોતાને એમ લાગે કે દોષ થયો છે જરા. બહુ ભારે દોષ થયો હોય તો મનમાં એમ સમજે કે આ ખોટું થયું. પણ પછી કો’ક એમને આવીને કહે કે, ‘મહારાજ, આ શિષ્ય જોડે આવું કેમ કર્યું ?’ ત્યારે પોતે ભૂલ થઈ છે, એવું જાણે છે છતાં અવળું બોલે. શું બોલે ? ‘તમે સમજતા નથી, એ મારો શિષ્ય કેવો છે ? એવું જ કરવા જેવો છે.’ એવું બોલે, વાંકું બોલે ઊલટું. જ્યાં ટેકરો હતો, ત્યાં જ ખાડો કરી આપે પાછો ! એનો અહંકાર સાચવવા માટે કરે ખરા કોઈ ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એનો અહંકાર સાચવવા માટે બધું જ કરે. મોટા મોટા સાધુ-આચાર્યો બધાય એવું કરે. કારણ કે અહંકારને તો સાચવવો જ પડેને ? નહીં તો કોની જોડે સૂઈ જાય એ ? સૂઈ કોની જોડે જવાનું ? ભલે સ્ત્રી ના હોય પણ અહંકાર જોડે સૂઈ જવાનું ફાવેને ? હવે અહંકારને સાચવે નહીં તો સૂઈ કોની જોડે જાય ? એટલે એને પહેલાં સાચવે. (પા.૧૪૭)[7] થાય ચોખ્ખો વ્યાપારધંધામાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : આપણે કોઈને માનસિક દુઃખ પહોંચાડીએ, ત્યારે અન્યાય કર્યો કહેવાય. જો આપણે ધંધો કરતા હોઈએ અને ધંધામાં તો માલ એનો એ જ છે, ભાવ વધારીએ તો કમાણી થાય, જ્યારે તમે ભાવ વધારો તો એનાથી બીજાને મનદુઃખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ? દાદાશ્રી : તમે ભાવ વધારો તો દુઃખ થાય. ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. આમાં તમે કર્તા થઈને કરો, તો દુઃખ થાય ને જો વ્યવસ્થિતને કર્તા સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. ખરેખર તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ (ભૂમિકા) ઉપર મૂક્યા છે કે, તમારી જોખમદારી બંધ થઈ જાય. જોખમદારીનો એન્ડ (અંત) થાય. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને. છતાંય તમને ઇચ્છા એવી છે કે, ‘આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા, પણ અમે કરી શકીએ એમ તો છીએ.’ જો તમે કર્તા થાવ તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આજ્ઞા સમજે, તો નિવેડો આવે. પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લેવાથી બીજાને દુઃખ પહોંચે છે, આપણા કર્મથી. (પા.૧૪૮)દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હુ (Who) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવાદેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા. પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર તો થાય. ત્યારે ખબર પડે કે સામી પાર્ટીને મન દુઃખ થાય છે. દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે ‘ભાઈ, માફી માંગી લો, કેમ આ દુઃખ કર્યું ?’ પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે, તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું. પ્રશ્નકર્તા : હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં. આજુબાજુની દુકાનવાળાએ પાંચ રૂપિયા વધારી દીધા, તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કહેવાય ? મને એ અડે કે ના અડે ? દાદાશ્રી : પણ કર્તા કોણ છે ત્યાં આગળ ? પ્રશ્નકર્તા : એ ચંદુભાઈ સાડી વેચવાવાળા. દાદાશ્રી : ‘તમે’ શુદ્ધાત્મા છો અને પછી આ ‘ચંદુભાઈ’ કરે તો યુ આર નોટ રિસ્પોન્સિબલ (તમે જવાબદાર નથી). અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુઃખ થયેલું લાગે, એને માટે તો તમારે ચંદુભાઈને કહેવું કે ‘ભઈ, તમે અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.’ બાકી મેં તમારી જોખમદારી બિલકુલ નથી રાખી. તમારી જોખમદારી ઊડાડી મેલી છે આ. (પા.૧૪૯)પ્રશ્નકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે ? દાદાશ્રી : ના. એ તેથી જ મેં ‘વ્યવસ્થિત’ (સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) કહેલું કે, એક જિંદગી માટે એક વાળ (જેટલું) ફેરફાર કરવાનો અધિકાર નથી. ‘વન લાઈફ’ માટે, હં ! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું, એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું ને તેથી મારે કશું વઢવુંય ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા’તા ? ને કેમ આમતેમ ? બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ (બિલકુલ) ! એટલું બધું કહ્યું છે પાછું. આ છે અક્રમ વિજ્ઞાનઆ તો વિજ્ઞાન છે. તરત મુક્તિ આપનારું છે. અને જો આ વિજ્ઞાન સમજી જાય તો તાળો મળે એવું છે. જ્યાંથી તાળો મેળવો, ત્યાંથી તાળો મળ્યા જ કરે. અને જે કોઈ પણ વસ્તુનો તાળો ના મળતો હોય તો એ વિજ્ઞાન જ ના કહેવાય. તાળો મેળવવો હોય તો તાળો મળી રહેવો જોઈએ. વિરોધાભાસ ક્યારે પણ ના આવવો જોઈએ. સો વર્ષ થાય, પણ વિરોધાભાસ હોય નહીં એનું નામ સિદ્ધાંત કહેવાય. આ ‘અક્રમ સિદ્ધાંત’ બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓ મુંબઈમાં આવ્યા, પણ કોઈને ગાંઠતું જ નથી. કારણ કે બુદ્ધિથી પર વસ્તુ છે આ ! બુદ્ધિ તો લિમિટેડ (મર્યાદિત) હોય. આની લિમિટેય ના હોય. વ્યાજ ખવાય કે નહીં ?પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ? દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ છે ? (પા.૧૫૦)દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુઃખ થાય ને એવું વ્યાજ હોય તેને અતિક્રમણ કહેવાય છે. પ્રશ્નકર્તા : એ શાસ્ત્રમાં વ્યાજ ખાવાની ના લખી છે, એ શું ગણતરીઓ છે ? દાદાશ્રી : વ્યાજ માટે તો ના એટલા માટે લખેલું છે કે, જે વ્યાજ ખાય છે એ માણસ ત્યાર પછી કસાઈ જેવો થઈ જાય છે, માટે ના પાડી છે. એ અહિતકારી છે એટલા માટે ! જો નોબલ (મોટા મનનો) રહી શકતો હોય તો વાંધો નથી. આદર્શ વ્યવહારથી આપણાથી કોઈનેય દુઃખ ના થાય તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. આપણાથી કંઈ એની ભાષામાં ન જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડદેવડ વગેરેમાં વ્યવહાર છે, એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા. કોઈનેય દુઃખ ના થવું જોઈએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર ! કરો ઉઘરાણીવાળાનાં પ્રતિક્રમણઆ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે. પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો તો રહેને ? દાદાશ્રી : માંગવા-ના માંગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું ! (પા.૧૫૧)કાળાબજારનાંય પ્રતિક્રમણપ્રશ્નકર્તા : અત્યારે ટેક્સ(કર) એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા મોટા ધંધાનું સમતોલન થાય નહીં. બધા લાંચ માંગે તો એના માટે ચોરી તો કરવી જ પડેને ? દાદાશ્રી : ચોરી કરો પણ તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તોય એ હળવું થઈ જાય. પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી (હૃદયપૂર્વક) પસ્તાવો કરવો. બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળાબજારનો માલ લાવ્યા તે પછી કાળાબજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું, કે પ્રતિક્રમણ કરો. પહેલાં પ્રતિક્રમણ કરતા ન હતા. તેથી કર્મનાં તળાવડાં બધાં ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યુ એટલે ચોખ્ખું કરી નાખવું. લોભ કોના નિમિત્તે થાય છે ? લોખંડ કાળાબજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ચંદુલાલ વેચો તેનો વાંધો નહીં, એ ‘વ્યવસ્થિત’ના આધીન છે પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીએ કે ફરી આવું ના થાય. પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ હું બ્લેક (કાળા બજાર)માં પૈસા બનાવું છું, એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ જે કરે છે ને એ જ બરાબર છે. પ્રકૃતિ જે કરે ને એ કૉઝ (કારણ)ની ઈફેક્ટ (પરિણામ) જ છે. પછી આપણે જાણીએ, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું. એટલે આપણે ‘ચંદુલાલ’ને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ કે પ્રકૃતિમાં ગૂંથાયેલું એવું છે ને ! ‘આપણે’ ધોતાં જવાનું પછી પાછળથી. (પા.૧૫૨)ચોરીઓનાંય પ્રતિક્રમણલોકો પર તને ચીઢ ચઢે છે ? પ્રશ્નકર્તા : ઘરમાં કોઈના દોષો દેખાયને તો ચીઢ ચઢે. દાદાશ્રી : ચીઢ ચઢે ચંદુલાલને ? પ્રશ્નકર્તા : ચંદુલાલને જ ને ! દાદાશ્રી : અને ‘તને’ ? ‘તને’ ચીઢ ના ચઢે ? પ્રશ્નકર્તા : ચીઢેય એને ચઢે અને ભોગવટોય એને આવે ! દાદાશ્રી : જેને ચીઢ ચઢે એને ભોગવટો આવે જ, પછી તને કેટલી ખોટ ગઈ ? પ્રશ્નકર્તા : બહુ ભારે ખોટ ગઈ. દાદાશ્રી : એમ ? લોકોને મારવાના ભાવ નથી આવતા ને ? લોકોની પાસેથી પડાવી લેવાના ભાવ નથી આવતા ? પૈસા પડાવી લઈએ, આમતેમ ? પ્રશ્નકર્તા : એવું નથી થતું. દાદાશ્રી : લોકો પાસેથી ચોરીઓ કરવાના ભાવ આવે છે ? પ્રશ્નકર્તા : લોકોની પાસેથી ચોરીઓ એ કેવી રીતે ? દાદાશ્રી : માલ વેચવો, તેમાં છે તે વજન વધારે લખી નાખવું. પ્રશ્નકર્તા : એ થોડું ઘણું રહ્યા કરે. દાદાશ્રી : હજુ ખરું ? પછી પ્રતિક્રમણ કરે છે તું ? પ્રશ્નકર્તા : કોઈ વખતે થઈ જાય, કોઈ વખત નથી થતું. દાદાશ્રી : બધું ધ્યાન તો રાખવું પડેને ? સો કિલોને બદલે એકસો એક કિલો ચઢાવી દો તો એક કિલોની ચોરી કરીને ? (પા.૧૫૩)પ્રશ્નકર્તા : એનું પ્રતિક્રમણ કરીએ તો શું થાય ? દાદાશ્રી : આપણે એના અભિપ્રાયમાં નથી. એવો અભિપ્રાય આજે નથી. આજે તો ખૂબ ફોર્સ (ધક્કા)થી થયા કરે છે આ. આજે તારો એવો ચોરી કરવાનો અભિપ્રાય ખરો ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : એટલા માટે પ્રતિક્રમણ કર્યું તો જાણવું કે, આજે એનો અભિપ્રાય નથી. પૂર્વ ફોર્સથી થયા કરે છે. પ્રશ્નકર્તા : એનું આવતા ભવે કર્મફળ બદલાઈ જાય ? દાદાશ્રી : નહીં. આ ભવમાં જ ઊડી ગયું કહેવાયને ? જગતના લોકોને ચોરી કરવાનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય તો મજબૂત કરે કે આ કરવું જ જોઈએ. અને તને શું થાય ? પ્રશ્નકર્તા : આવું ના હોવું ઘટે. દાદાશ્રી : એટલે તું ઉત્તરમાં જઈ રહ્યો છે ને લોક દક્ષિણમાં જઈ રહ્યું છે. આ તો ચંદુલાલનું પાછલું સ્વરૂપ દેખાય છે. કેવું ભયંકર હતું એ હિસાબે ? પાછલું સ્વરૂપ કેવું હતું ? પ્રશ્નકર્તા : બહુ ભયંકર. પ્રતિક્રમણ કર્યા પછી ફરી દોષો કન્ટિન્યુઅસ (સતત) દેખાયા જ કરતા હોય તો શું કરવું ? દાદાશ્રી : એનાં ફરી ફરી પ્રતિક્રમણ કરવાં. નહીં તો બધા દોષોનું જાથું પ્રતિક્રમણ કરવું, પા કલાક દોષો દેખાયા કરતા હોય, પછી જાથું પ્રતિક્રમણ, ભેગું પ્રતિક્રમણ કરવું જોઈએ. લોકો કહે છે કે, ‘આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું.’ હવે માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવી ને તમારે ને તમારે જ માફી આપવાની. અનીતિનાં ખૂબ ખૂબ પ્રતિક્રમણએક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ (પા.૧૫૪)છે.’ તેને હું કહીશ, ‘પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.’ મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડીસ ઑનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ !!!’ ઑનેસ્ટ થવાતું નથી, તો મારે શું દરિયામાં પડવું ? મારા દાદા શીખવાડે છે કે, ડીસઑનેસ્ટ (અપ્રામાણિક) થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઑનેસ્ટીને ડીસઑનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઑનેસ્ટ છે એ નક્કી છે. દાન આપે, અનીતિથી પૈસા કમાય, એ બધું જ છે. તે એનો ઉપાય બતાવેલો હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહેવું ? કે પ્રતિક્રમણ કર કર કરો કે, અનીતિથી કેમ કમાયા ? માટે પ્રતિક્રમણ કરો. રોજ ચારસો-પાંચસો પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને કરવાનું નહીં, ‘ચંદુલાલ’ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે. હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, ‘આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું (રોકડું) હોવું જોઈએ. આ બેંકેય કેશ કહેવાય છે અને પેમેન્ટેય કેશ કહેવાય છે. અટકે અંતરાય કેમ કરીને ?ઑફિસમાં પરમિટ (પરવાનો) લેવા ગયા, પણ સાહેબે ના આપી તો મનમાં થાય કે ‘સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે’. હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ. આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે ઑફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા ‘આસિસ્ટન્ટ’ (મદદનીશ)ને અક્કલ વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ (પા.૧૫૫)ખોઈ નાખ્યો છે ! તમને ‘રાઈટ’ (અધિકાર) જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એનેય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે ! જો તમે આનાં તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય. અંડરહેન્ડને ટૈડકાવ્યા તેનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા. દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નથી. તમારે પોતાને માટે નથી. સરકારને માટે એ સિન્સિઆરિટી (વફાદારી) કહેવાય. પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાંને તો દુઃખ થયું હશે ને ? દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું, એ જુદું જુદું નહીં કરવાનું. પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવથી લઈને સરકારનું કામ કરવામાં જે જે દોષો થયાં, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું. ઠપકો આપવો પણ...પ્રશ્નકર્તા : એક અધિકારી હોય, બોસ હોય એ એના અંડરહેન્ડને ઠપકો આપે તો પેલાને દુઃખ તો થાયને ? કર્મચારી ખોટું કરે, તો પેલા અધિકારીને ઠપકો આપવાની ફરજ તો ખરીને ? (પા.૧૫૬)દાદાશ્રી : એવું છેને, ઠપકો આપવો એ બહુ જ જવાબદારી છે. ઠપકો આપવો એટલે આપણો હાથ દઝાય નહીં અને સામાને વાગે નહીં એવી રીતે ઠપકો આપવો જોઈએ. આપણા લોકો એ જોતા-કરતા નથી ને ઠપકો આપી જ દે. એ ઠપકો આપનાર બહુ મોટો ગુનેગાર બને છે. ઠપકો સાંભળનાર માણસનું જે થવાનું હશે તે થશે, પણ ઠપકો આપનાર તો સપડાયો ! પ્રશ્નકર્તા : એની જે ફરજ હોય, એ ફરજની સામે એને કેટલાંક પગલાં લેવાં પડે. તો એમાં એ શું કરે ? એને તો છૂટકો જ નહીંને, એને કરવું જ પડેને ? દાદાશ્રી : ના, એ કરવું, પણ એને પદ્ધતિસર એવી શોધખોળ કરો કે સામાને બહુ અસર ના થાય. પ્રશ્નકર્તા : શોધખોળ તો બીજી શું કરે ? પેલો કામ ના કરતો હોય એટલે એને ઠપકો તો આપવો પડેને ? દાદાશ્રી : પણ ઠપકો તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ? ઠપકો તોલીને આપતા હશે લોકો ? આમ પાશેર તોલીને આપતા હશે ? નહીં ? તો એવું તો થતું હશે ? પ્રશ્નકર્તા : એ તો વગર તોલ્યે આપે પણ એમાં તો એવું છેને, નોકરી કરતા હોય ત્યાં તો નક્કી જ કરેલું હોય કે ભઈ, આ કામ આટલું ના કરે તો તેની સામે આટલાં પગલાં લેવા. આવું બધું એના કોડ (નિયમો) નક્કી કરેલા હોય છે. દાદાશ્રી : કાયદેસર પગલાં લેવાને માટે વાંધો નથી પણ ઑન પેપર. પણ તમે તો ઠપકો મોઢે આપી દો છો. એ તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ? પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો કામ ના કરતો હોય, આપણે એને કામ કહ્યું હોય, તે કામ ના કર્યું હોય અને કામ ટાળ્યું હોય એટલે આપણે ઠપકો આપવો જ પડેને ? (પા.૧૫૭)દાદાશ્રી : હા, ઠપકો આપવાનો. પ્રશ્નકર્તા : કોઈ વખત ઠપકો આપવો પડે. નહીં તો એને છૂટો કરવો પડે, ડિસમિસ કરવો પડે. પછી આપણને મનમાં દુઃખ થાય કે એનાં છોકરાં ભૂખે મરશે. દાદાશ્રી : પણ એવું છેને, આપણે એને ચેતવવો કે ભઈ, મારે તને છૂટો કરવો પડશે, ડિસમિસ કરવો પડશે, માટે તું ચેતીને કામ કર. પ્રશ્નકર્તા : એવું ચેતવીએ છીએ, એને લખીને આપીએ છીએ કે ‘તું કામ કરતો નથી, તને ડિસમિસ કરવામાં આવશે, તારું કામ સંતોષકારક નથી.’ એવું બધું લખીને આપીએ. દાદાશ્રી : પછી ? પ્રશ્નકર્તા : છતાં ના સુધરે એટલે પછી એને છૂટો કરવો પડે. અને છૂટો કરીએ એટલે પછી એનાં છોકરાં બિચારાં દુઃખી થતાં રડતાં રડતાં ઘેર આવે. આપણને દુઃખ થાય ? એને પણ દુઃખ તો થાયને ? દાદાશ્રી : દુઃખ બંધ કરવું હોય તો રહેવા દેવાનું. કામ આપણે કરી લેવાનું. પ્રશ્નકર્તા : એ પગલાં જો ના લે, તો પાછો અમને અમારા ઉપરીથી ઠપકો સાંભળવો પડે. દાદાશ્રી : તે પગલાં લ્યોને. પણ પગલાં એવી રીતે લ્યો કે તમે તો શુદ્ધાત્મા છો. હવે ચંદુભાઈ પગલાં લે, એમાં જોખમદારી નથી હોતી. ચંદુભાઈ છે, એ વસ્તુ તો ડિસ્ચાર્જ છે. એટલે પગલાં લો તેની તમને જોખમદારી નથી હોતી. આપણે ચંદુભાઈને કહેવું કે બને ત્યાં સુધી પગલાં લેવાં નથી, આવાં પગલાં લેશો નહીં. છતાં પછી લેવાઈ જાય તે સાચું ! પ્રશ્નકર્તા : એ વાત તમારી સાચી. આપણે અલિપ્તતાથી પગલાં લીધાં, પણ એ પગલાં લીધાં પછી પેલા માણસને મનદુઃખ જે થયું, એના માટે પ્રતિક્રમણ સિવાય બીજો શું રસ્તો ? (પા.૧૫૮)દાદાશ્રી : પ્રતિક્રમણ એકલું જ, બીજું કશું કરવાનું નથી. પસ્તાવો લેવો, નિમિત્ત બન્યાનોપ્રશ્નકર્તા : આજે આપણે એક નોકરી પર છીએ, ને આપણા તાબાનો જે માણસ છે, એ કંઈ ભૂલ કરે તો આપણે દંડ આપવો પડે. કારણ કે નોકરીમાં આપણે જગ્યા પર બેઠા છીએ. દાદાશ્રી : ના, પણ તે એવું થયું હોયને તો આપણે ચંદુભાઈ પાસે પસ્તાવો કરાવવો. થઈ ગયા પછી કે, આ ન કરવા જેવું થાય છે. આપણા નિમિત્તે પેલાને દુઃખ થયું, તે બદલ પસ્તાવો કરવો કે, આપણે ભાગે ક્યાં આવ્યું આ ? આપણે કેમ આવું નિમિત્ત બન્યા ? આપણે આવું નિમિત્ત બનવું ના જોઈએ. પણ અત્યારે તમે એવી જગ્યાએ આવી ગયા છો, એવું કર્યા વગર ચાલે નહીં, એટલે તમારે હવે ‘રૂટિન’ (રોજીદું) તો બધું કરવું પડે. આમાં જેનો ગુનો, તેને દંડપ્રશ્નકર્તા : હું ડી.એસ.પી.નો પી.એ. છું. તે મારે તો કેટલાકને ડિસમિસ કરવા પડે તો તેનું મને દુઃખ થાય છે. તો તેમાં બંધન ખરું ? દાદાશ્રી : કેટલીક વખત એવું બને કે તમે ઉપર લખી મોકલાવો કે આ ભાઈને ડિસમિસ કરો ને એ ડિસમિસ ના થાય, એવું બને ખરું ? પ્રશ્નકર્તા : બને. દાદાશ્રી : એટલે આ ડિસમિસ કરો એ પણ તમારું રૂટિન છે. અને મનમાં ભાવ રહે છે કે ડિસમિસ કરવા નથી, તો તેનું બંધન નથી. આ તો કેવું છે કે જેનો જેટલો ગુનો છે, એટલો એને દંડ મળવાનો. એવો નિયમ છે. એ અટકાવી શકાય એવી વસ્તુ નથી. એટલે આપણે આવા ભાવ રાખવા કે આને દુઃખ ના હો. બાકી રૂટિન તો ચાલ્યા જ કરવાનું. (પા.૧૫૯)ભાવ પલટાયે, જોખમદારી ટળેફાંસી કરનાર માણસને જો જ્ઞાન આપેલું હોય અને ફાંસી દેવાનું એને ભાગે આવે, પણ એના ભાવ ફરેલા હોય તો એને કશું બંધન નથી. અને જેના ભાવ એવા છે કે આને ફાંસીએ ચઢાવવો તેને બંધન છે. એ પછી પેલાને ફાંસીએ ના ચઢાવે તોય બંધન છે. એટલે ભાવ એ જ મુખ્ય વસ્તુ છે. ભાવ ફરી જાય ને, પેલાને જેલમાં ઘાલો, તોય એનું પુણ્ય બંધાય એવું બધું આ જગત છે. પોતાના ભાવની સમજદારી જોઈએ. ફરજો બજાવવી, ‘જ્ઞાન’માં રહીનેપ્રશ્નકર્તા : આપણે કોઈના ગુનાનો રીપોર્ટ કરીએ તો આપણને ગુનો લાગે કે ના લાગે ? દાદાશ્રી : ના, કશુંય ના થાય. પ્રશ્નકર્તા : આ મારા તાબાનો માણસ બરાબર કામ નથી કરતો અથવા ગોટાળા વાળે છે અને એ વસ્તુ આપણા સાહેબના ધ્યાનમાં લાવીએ ત્યારે આપણને કર્મ બંધાય ? દાદાશ્રી : ના લાગે. પ્રશ્નકર્તા : અને એ ધ્યાનમાં ના લાવીએ તો આપણું તંત્ર બધું બગડે. દાદાશ્રી : એટલે સાહેબના ધ્યાનમાં લાવવું જ પડે. પણ એ વિનયથી લાવવું પડે. અને આપણે એને બધું સમજાવીને કહેવું જોઈએ. આપણે રુઆબથી ના કહી શકીએ. પ્રશ્નકર્તા : બહાર વ્યવહારમાં એ કેવી રીતે બને ? દાદાશ્રી : આપણે તો એવો ભાવ રાખવો. પછી બન્યું એ કરેક્ટ. આપણો ભાવ એવો રાખવાનો અને એને સમજાવીને કહેવું જરૂરી છે. (પા.૧૬૦)જેટલી વખતે સમજાવીને કહેવાયું એટલી વખત કરેક્ટ અને સમજાવીને ના કહેવાયું તો પણ કરેક્ટ. પ્રશ્નકર્તા : આજે કોઈ આડાઈ કરતો હોય, પણ આપણને સજા કરવાની સત્તા ના હોય, પણ આપણા ઉપરી હોય એને સજા કરવા માટે રીપોર્ટ કરીએ. હવે ઉપરીએ સજા કરી પણ રીપોર્ટ તો મેં કર્યો. તેથી નિમિત્ત હું થયોને ? દાદાશ્રી : ના, પણ મનમાં ભાવ આપણા નથીને ? આ તો ચંદુભાઈ કરે છેને ? તો તમારે શું કરવાનું ? ચંદુભાઈ જે કરે એ જોયા કરવાનું. જગત તો ચાલ્યા કરવાનું. એનો કશો ભો નહીં કરવાનો. મનમાં એવા ભાવ રાખવા કે કોઈ જીવને દુઃખ ના હો. પછી તમે તમારે રૂટિન કરવું, જે રૂટિન થાય તેમાં તમારે હાથ નહીં ઘાલવાનો. શંકા-કુશંકા નહીં કરવાની. તમારે તમારા સ્વરૂપમાં રહેવું. બાકી ફરજો તો બજાવવી જ પડેને ? છેવટે, ઉપાયમાં પ્રતિક્રમણઅત્યાર સુધી ફસાઈ ગયા, પણ હવે કળા આવડીને ? આ લોક તો શું કહેશે, ‘વીંછી કૈડે તો કૈડવા દેવો !’ ‘અલ્યા પણ શક્તિ છે ?’ ‘એ શક્તિ ના હોય, પણ વીંછી કૈડવા દે, એ જ જ્ઞાનીની નિશાની !’ કહેશે. અલ્યા, મહીં શક્તિ નથી તો વીંછીને બાજુએ મૂકી દેને અહીંથી. વીંછી હોય કે વીંછીનો બાપ હોય, બાજુએ મૂકી દેને. હા, એને મારશો નહીં. પ્રશ્નકર્તા : એવા જ્ઞાની હોય કે વીંછીને કૈડવા દે ? દાદાશ્રી : તેવું લોક કહે છે કે જ્ઞાની હોય તો વીંછીને કૈડવા દેવો. પ્રશ્નકર્તા : એ તો અહંકાર થયોને ? દાદાશ્રી : આ બધો અહંકાર જ છેને ! (પા.૧૬૧)પ્રશ્નકર્તા : તો વીંછી ઊખડતો ના હોય તો ખેંચવો પણ મરી ના જાય એવી રીતે ખેંચવો ? દાદાશ્રી : હા, તેમ છતાંય મરી જાય તો પ્રતિક્રમણ કરવું. એનો ઉપાય જ એવો હોય. પ્રશ્નકર્તા : એવો મારી નાખવાનો આશય નથી. દાદાશ્રી : એવો કોઈ આશય નથી, પણ વખતે આમ બને ત્યારે શું કરવું ? એનો ઉપાય તો હોવો જોઈએને ? અને વીંછી કૈડવા દેવાની મહીં શક્તિ તો છે નહીં અને પછી મનમાં ‘હાયવોય, હાયવોય’ કર્યા કરીએ, એના કરતાં પહેલેથી ચેતીને ચાલોને, બધાય ઉપાય છે. આપણી પાસે આ અક્રમ વિજ્ઞાન છે આખું. પ્રશ્નકર્તા : આ તો બધું પ્રેક્ટિકલ થયું, દાદા. દાદાશ્રી : હા, પ્રેક્ટિકલ છે પાછું. (પા.૧૬૨)[8] ‘આમ’ તૂટે શૃંખલા ઋણાનુબંધનીઋણાનુબંધથી કેમ છૂટાય ?પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં ફરજિયાત સહવાસમાં રહેવું પડતું હોય, તો શું કરવું જોઈએ ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝિઝ શું કર્યા’તાં ? તો કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું’તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માંગી લો. માફી માંગ માંગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ માફી માંગી લો, તો બધું ખલાસ થઈ જશે. સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે ? એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે (પા.૧૬૩)માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, જેના તરફ જે જે દોષ કર્યા હોય એના નામની, ‘હે ભગવાન ! હું ક્ષમા માગું છું.’ આ દોષોનું પરિણામ છે. તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર બેઠેલા ભગવાન પાસેથી તમે માફી માંગ માંગ કરો, તો બધું ધોવાઈ જશે. સગાંવહાલાંનાં પ્રતિક્રમણઆ (રિલેટિવ સંબંધો) તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે ‘આ મારો મોટો દીકરો, શતાયુ.’ પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે. પ્રશ્નકર્તા : ક્યારેક તો મન દુઃખી થઈ જાય કે, એમણેય જ્ઞાન લીધું છે, આપણેય જ્ઞાન લીધું છે, તો આવું કેમ થાય છે ? દાદાશ્રી : આ તો બધા કર્મના ઉદયો છે, એમાં આપણે પ્રતિક્રમણ કરવું, આ તો કર્મના ઉદયો છે. ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઇચ્છા એવી ના હોય, છતાંય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકો ને ! પ્રશ્નકર્તા : મને એમ થાય કે, ‘એમનું’ સારું કરું પણ મારાથી બગડી જ જાય. અને હું ખોટી ઠરીને ઊભી રહું. દાદાશ્રી : વાંધો શું છે પણ એ ? એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું. (પા.૧૬૪)પ્રશ્નકર્તા : પહેલાં મને બહુ ડર લાગતો હતો. હવે ડર નથી લાગતો. દાદાશ્રી : પણ આવી વાતોય કરવાની જરૂર નહીં. તેઓ ખરાબ લગાડીને ઘેર ગયાં હોય તો, એ બીજે દહાડે આવશે તો રાજી થઈ જશે. આપણે પ્રતિક્રમણ કરવું. આ બધા રિલેટિવ સંબંધો છે, રીયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ? પ્રશ્નકર્તા : મારા પતિ મારાથી જુદા રહે છે, છોકરાઓ પણ લઈ ગયા છે. તે મારા કર્મમાં તેમ હશે ત્યારે થયું હશેને ? દાદાશ્રી : હાસ્તો, બીજું શું ? નવું તો થાય નહીં ને કશું. અને એનાં પ્રતિક્રમણ ના કર્યાં, તેને લઈને આ આવું થયું. પ્રતિક્રમણ કરવાથી પાછું ફરે. ચૂકવવાના માત્ર હિસાબ જજગત આખું બધું હિસાબ જ છે અને હિસાબને ચૂકવવા માટે આપણે ત્યાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે. બીજી જગ્યાએ એની પાસે હિસાબ ચૂકવવાનું કંઈ સાધન નથી. આપણે અહીં સાધન છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. તમે થોડું ઘણું ચૂકવો છો હવે ? હિસાબ જ ચૂકવવાના છેને ? બીજું શું કરવાનું છે ? કોઈના હાથમાં પજવવાની યે સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાનીયે સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય. બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે. (પા.૧૬૫)પ્રતિક્રમણનો પ્રતિસાદ અવશ્યબે ખોટ ના ખાય એનું નામ જ્ઞાન. અને બે ખોટ ખાય તોય મનમાં પાછું એનું પ્રતિક્રમણ કરે તો બે ખોટ ના ખવાય. બે ખોટ ના ખાવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરે તો માફી થાયને ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો દોષ થયો તે બદલ પ્રતિક્રમણ કરીએ છીએ. દોષ ના થયો તો કંઈ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એ તો એની જોડે હિસાબ આપણો ચૂકતે થઈ ગયો. પણ ઊંધું થયું ના હોય તો કશી લેવાદેવા નથી. અને જેમ જેમ પ્રતિક્રમણ થશેને, તેમ તેમ બધું હલકું થતું જશે, તે માણસો જોડે. તે સંબંધો માણસો જોડે બિલકુલ ક્લિયર. એક માણસ જોડે તમારે બિલકુલ ફાવતું નથી, તેનું જો તમે આખો દહાડો પ્રતિક્રમણ કરો, બે-ચાર દિવસ સુધી કર્યા કરો તો પાંચમે દહાડે તો તમને ખોળતો આવે અહીંયાં. તમારા અતિક્રમણ દોષોથી જ આ બધું અટક્યું છે. અને પ્રતિક્રમણ તો કોઈ કરે નહીં, આ ડાહ્યા માણસો તો પ્રતિક્રમણ કરતાં હશે કે ? દોષ એનો અને હું શાનો પ્રતિક્રમણ કરું કહેશે ? પેલાને પૂછીએ કે ભઈ, તારે ? ત્યારે એ કહે, ‘એનો દોષ, હું શાનો પ્રતિક્રમણ કરું તે ?’ ચાલો નિરાંત થઈ ગઈ, આપણે હિન્દુસ્તાન ને પાકિસ્તાન, બોંબાર્ડિંગ ચાલુ જ રહેવા દોને ! એ છે આપણાં જ પરિણામપ્રશ્નકર્તા : કોઈ આપણું અહિત કરતું આપણને જણાય ત્યારે તે પરિણામ છે એમ સમજીને, જે થતું હોય તે જોયા કે જાણ્યા કરવું, કે રાત્રે સૂતી વખતે પ્રતિક્રમણ કરવું કે રૂબરૂ મળીને રોકડું પ્રતિક્રમણ કરવું ? (પા.૧૬૬)દાદાશ્રી : અહિત કરતું હોય તો અજ્ઞાનીને શું ઉપાય છે કે, એની જોડે બાઝે, લઢે, ગાળો દે, માર માર કરે. અજ્ઞાની શું ઉપાય કરે ? આ જ ઉપાય કરેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગાળંગાળા કરે, લઢંલઢા કરે, તેથી કંઈ અહિત બંધ થઈ જતું નથી. એ તો હિસાબ લઈને આવ્યા છે, તો એવું થવાનું જ અને આ બધું વધારે કર્યું, તે આવતા ભવને માટે સિલ્લક કરી. એને વટેશ્રી, આવતા ભવની વટેશ્રી બાંધી એટલે આપણે વટેશ્રી ના કરીએ, આપણે અહિત કરતો હોય તેને જોયા-જાણ્યા કરવું. અહિત એ જે કરે છે એ તો મારું પરિણામ આવ્યું. જેમ પેલી વાવ ‘ચોર’ આપણને કહે છે, એ એમ કહેવાય કે અહિત કરે છે વાવ ? ના, આપણું પરિણામ આવ્યું, કારણ કે એ તરત ને તરત કરે છે ને ? એટલે આપણને એમ લાગે છે કે આનું પરિણામ આવ્યું, નહીં તો ખબર નહીં પડતી. એટલે આમાં એનું પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. કારણ કે એ અહિત કરે છે. આપણે અહિત કરતા હોઈએ તો આપણે પ્રતિક્રમણ કરવાનું. એ અહિત કરતો હોય તો આપણને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. નિરાંતે જોયા કરો. આપણું કોઈ હિત કરતો હોય તેય આપણું પરિણામ છે અને અહિત કરતો હોય તેય આપણું પરિણામ છે. જગતના લોકો આ બેઉ જગ્યાએ જુદું વર્તે. હિત કરતો હોય તેની પર રાગ અને અહિત કરતો હોય ત્યાં દ્વેષ. તમે તો મારું ખરાબ કરી નાખ્યું ને આમ છે ને તેમ છે. બેઉ રાગ-દ્વેષનાં પરિણામ છે. અને એવું તેવું છે નહીં, અહિત ને હિત કરનારો કોઈ છે જ નહીં, તમારા જ પડઘા છે. બીજું કોઈ છે નહીં. આમાં બહારથી કેવી રીતે આવે ? અપમાન કરે તેનાંય પ્રતિક્રમણપ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે, હું આટલું બધું કરું છું છતાં આ મારું અપમાન કરે છે ? (પા.૧૬૭)દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતનાં લોક છે. તે મોક્ષે ના જવા દે. પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે. જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે, જ્ઞાનીપુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. આમ વિશ્વાસ પાછો મેળવાય ?પ્રશ્નકર્તા : કોઈ માણસ ઉપરથી આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એણે આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય અને આપણને વિશ્વાસ ઊડી ગયો હોય. એ વિશ્વાસ પાછો મેળવવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : એના માટે જે ખરાબ વિચાર કર્યા હોયને, એનો છે તે પશ્ચાત્તાપ કરવો જોઈએ. વિશ્વાસ ઊડી ગયા પછી આપણે જે જે ખરાબ વિચાર કર્યા હોય, એનો પશ્ચાત્તાપ લેવો પડે, પછી રાગે પડી જાય. એટલે પ્રતિક્રમણ કરવાં પડે. વારંવાર પ્રતિક્રમણ શાને ?પ્રશ્નકર્તા : બધી એક્સ્પર્ટ (હોશિયાર) બેનો ભેગી થઈ છે અને (પા.૧૬૮)એકબીજા પર કપટ કરે છે. પણ પછી તરત મનમાં પ્રતિક્રમણ કરે ને મોઢેય માફી માંગી લઈએ. એકબીજા સામસામીય કપટ થઈ જાય, પણ એમને તરત થાય કે, આ ભૂલ થઈ ગઈ. હવે આમાં આ ભઈ કહે છે કે, એવી ભૂલ થવા જ ના દેવી જોઈએ. દાદાશ્રી : ના, એવું ચાલે નહીં. એવો પાછો નવો કાયદો લાવ્યો ? અહીં તો નો લૉ લૉ. અહીં કાયદો જ નથીને ! પ્રશ્નકર્તા : જો એકવાર સાચું પ્રતિક્રમણ કરે, તો એ ભૂલ બીજીવાર થવી ના જોઈએ. દાદાશ્રી : ના, એવું ના કહેવાય. કેટલાંકનાં તો પચાસ-પચાસ, સો-સો છે તે પડળ હોય. પ્રશ્નકર્તા : પણ એવું કંઈક જોરદાર એવું પ્રતિક્રમણ ના હોય કે એક સાથે બધાં પડળ કાઢી નાખે ? દાદાશ્રી : ના થાય તે. એવું ના થાય. પ્રશ્નકર્તા : અક્રમ પ્રતિક્રમણ કરોને ? દાદાશ્રી : એ તો બે હાથે જમાય નહીં. એક જ હાથે જમવું પડે. એ તો પ્રમાણથી જ બધું સારું. બહુ દહાડાનો તાવ હોય તો એક દહાડો આખી દવાની શીશી પી ગયા એ ચાલે ? પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : એથી પછી ઊંધું થાય. બધું પ્રમાણથી શોભે. તે તો પછી નીકળી જાય. એ છે ક્રિયા દૂધમાંથી મીઠું કાઢવાનીદાદાની કૃપાથી બધું રાગે પડી જશે. એટલે નવું ઉમેરજો કે, છેવટે આપણે જાણીએ છીએ કે, આ બગડે એવું છે અને આ દૂધની સવારમાં ચા નહીં થાય, તો પછી મીઠું કાઢી નાખવાની ક્રિયા આપણે કરવી, (પા.૧૬૯)નાખેલું મીઠું કાઢી નાખવું. એ તો આપણું વિજ્ઞાન એવું છે કે કાઢી નાખે. એ તો પછી હં... બીજા મલમપટ્ટા મારી મારીને પછી સમું કરી દેવું. લોહી નીકળતું બંધ કરી દેવું. પછી જો અવળું ફર્યું, એવું આપણે જાણ્યું કે પછી, તમને ના સમજાય અવળું ફર્યું ? પ્રશ્નકર્તા : સમજાય. દાદાશ્રી : પછી છોડી દેવાનું આપણે. પછી એના મલમપટ્ટા જ માર માર કરવાના. પછી એને લોહી નહીં નીકળે. પણ ફરી એ કો’ક દહાડો કહેશે કે, આવજો. તો આપણે ફરી પાછું જવું ત્યાં. અને લોહી નીકળ્યું તો સામો વાયદો થઈ જશે. પ્રશ્નકર્તા : એટલે એવું બને છે. પેલી વ્યક્તિનું ઑપરેશન કરવા જઈએ તો બીજા પચ્ચીસનો પાછળ લોચો પડતો હોય છે. દાદાશ્રી : હા. તો એવું થઈ ગયું છે. એટલે એવું સાચવીને કામ લઈ લેવું. એને વિવેક કહેવામાં આવે છે. સાચી વસ્તુ પણ વિવેકથી આપવી જોઈએ. એ ધોલ મારીને ના અપાય. સાચી વસ્તુ ખવડાવીએ તોય ધોલ મારીને ના અપાય. કારણ કે બધાનું વોટીંગ છેને ? ગામડાનું કામ હોય તો ચાલ્યું જાય. એ લોકો હાર્ટીલી, એટલે તમારું ચાલ્યું જાય. બાકી અહીં શહેરમાં ના ચાલે. શહેરમાં કશું ના ફાવે. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : ત્યાં હાર્ટીલી એટલે બધું ચાલ્યું જાય. એટલે જોઈ લેવું. ક્યાં બગડી જાય છે તે તપાસ કરી લેવી, કે આવું ના હોવું જોઈએ. એની રીત આવડવી જોઈએપ્રશ્નકર્તા : હું આપને એ જ કચાશની વાત કહેવા માંગતો હતો કે જ્યારે કોઈની બિલિફ તૂટે છે, એ વખતે એનો અહમ્ દુભાય છે ? દાદાશ્રી : આપણને બિલિફ તોડતાં ના આવડે એને દુઃખ થાય, (પા.૧૭૦)તો તોડાય નહીં. હું બિલીફ જ તોડી આપું છું ને ? કે ના, તમે ચંદુભાઈ ન હોય. ચંદુભાઈ તમે નહીં. એટલે એમ કરતાં કરતાં એની મોટી જબરજસ્ત કેટલા અવતારની બિલીફ, એ તો ફ્રેકચર થવા માંડે. એકઝેક્ટનેસ હોવું જોઈએ. નહીં તો એને બહુ દુઃખ થાય. ભગવાન વિશેની બિલિફ હું તોડું છું. માટે ‘ભગવાન નથી’ એવું કહું તો માર્યો ગયો. પછી એને સમજાવતાં આવડવું જોઈએ કે કેવી રીતે નથી અને કેવી રીતે છે. એ બધું હોવું જોઈએ. અને કોને માટે ભગવાન છે અને ભગવાન કોને માટે નથી. એવી બધી રીતથી સમજણ પાડું, એના મનને સહેજે પણ દુઃખ ના થાય. આપણું એકુય હથિયાર વાગે નહીં. આપણું હથિયાર આપણને વાગે પણ એને ના વાગે એ તારે ખાસ જાણવું જોઈએ. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : એને ઑપરેશન કહેવાય છે. થોડી થોડી કચાશ હોય તો કાઢી નાખવી. નવી ક્ષમાપના લઈ લેવી જોઈએ. સામા માણસને કિંચિત્માત્ર દુઃખ ના થવું જોઈએ. એ ધ્યેયપૂર્વકનું જીવન હોય. દુઃખ કરવા માટે આપણે આવ્યા નથી. કંઈ બને તો સુખ થાઓ, એ આપણો ધ્યેય છે. અગર તો દુઃખ કોઈને ન હોવાં જોઈએ. એટલે અણસમજણથી, આપણી ભૂલથી જ સામાને દુઃખ થાય. એની ભૂલથી થતું હોય તે પણ આપણને ન હોવું જોઈએ. એની ભૂલથી, એટલે એ ભૂલવાળો છે જ, એને તમે સુધારવા નીકળ્યા છો તો એને દુઃખ કર્યા વગર જ સુધારવો જોઈએ. જોતાં જ અભાવ આવે ત્યાં...પ્રશ્નકર્તા : કોઈકવાર અમુક વ્યક્તિને જોઈને, એનું વર્તન જોઈને, અભાવ આવી જાય છે. દાદાશ્રી : એ તો પહેલાંની આપણને આદત ખરીને, એ આદતનો (પા.૧૭૧)ધક્કો હજુ વાગ્યા કરેને ! પણ આપણું જ્ઞાન એના પર મૂકવું જોઈએને, આદત તો પહેલાંની એટલે આવ્યા કરે. પણ એમ કરતાં કરતાં આપણું જ્ઞાન મૂકીએને, એટલે એમ કરતું કરતું સ્થિર થાય. આદતો પૂરી થવી જ જોઈએને ! પ્રશ્નકર્તા : પ્રશ્ન એ છે કે અમુક માણસોને માટે જ કેમ થતું હશે ? એ તિરસ્કારવૃત્તિ કે એવું જે કંઈ આવે તે ? દાદાશ્રી : પૂર્વનો હિસાબ હોય, ત્યારે આવેને ? પણ તે આજે હવે લેવાદેવા નથીને ! આપણે એના શુદ્ધાત્મા જ જોઈએ છીએ. તે દહાડે તો એના બહારના ખોખા ઉપર તિરસ્કાર હતો. પેકિંગ જોડે હિસાબ હતા. આજે હવે તે પેકિંગની જોડે તો લેવાદેવા નથી. એના પેકિંગનું ફળ એને મળે. પહેલાં તો આપણે એમ જ જાણતા હતા કે આ જ ચંદુલાલ. એટલે આપણને તિરસ્કાર થતો હતો. પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહેને ? દાદાશ્રી : એ અભિપ્રાય બધા કરેલા, તેના ફળરૂપે આ અભાવ રહ્યા કરે. તેનું આપણે ‘પ્રતિક્રમણ’ કરીને ફેરવી નાખવું કે સામો તો બહુ સારો છે, તે આપણને પછી સારો દેખાય. પ્રશ્નકર્તા : અભિપ્રાયનું પ્રતિક્રમણ કરવાનું કે પ્રત્યાખ્યાન કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારો છે. જે ખરાબ લાગતો હોય, તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલક છે. અમે જેટલા અભિપ્રાય આપીએ એ ધોઈ નાખીએ. પ્રશ્નકર્તા : સાધન કયું ધોવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ. આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને (પા.૧૭૨)આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય, તેને નવું કર્મ ના બંધાય. અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકુય કર્મ બંધાય નહીં. અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરેય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ. એટલે આપણા મનની છાયા એની ઉપર પડે છે. અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે ! ઘનચક્કર હોય તોય ડાહ્યો થઈ જાય. આપણા મનમાં ‘ચંદુ’ ગમે નહીં, એમ હોય તો ચંદુ આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય. ને તેનો ફોટો એની ઉપર પડે. એને તરત મહીં ફોટો પડે કે આપણી મહીં શું ચાલી રહ્યું છે ? એ આપણા મહીંનાં પરિણામો સામાને ગૂંચવે. સામાને પોતાને ખબર ના પડે, પણ એને ગૂંચવે, એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ. આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા. એટલે આપણું મન ફરે. કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. એટલે અભિપ્રાય જે ભર્યા છે, તેની ભાંજગડ છે. જે અભિપ્રાય નથી રાખ્યો, તેની ભાંજગડ હોતી નથી. પ્રશ્નકર્તા : પણ અત્યારેય તિરસ્કાર આવે તો પછી આપણે ગુનેગાર છીએ ? દાદાશ્રી : ના. ગુનેગાર નથી. જોયું અને જાણ્યું. એટલે બહુ થઈ ગયું કે આ આવે છે ત્યારે એના માટે તિરસ્કાર થાય છે અને આ આવે છે ત્યારે જરા મહીં આનંદ થાય છે. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ કરવું જોઈએ ? દાદાશ્રી : સામાને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાનાં. બાકી વિચાર આવે ને જાય. તો એનું પ્રતિક્રમણ ના હોય. એને માટે તો એવું કરવું કે આમ ન હોવું ઘટે. એટલું જ બોલીએ તો બહુ થઈ ગયું. (પા.૧૭૩)પ્રતિક્રમણ તો ક્યારે કરવું કે કંઈક ગુસ્સો નીકળી ગયો હોય, ને કો’કને વાગ્યું હોય તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ મનમાં આવો વિચાર આવ્યો હોય તો પ્રતિક્રમણ નહીં કરવાનું ? દાદાશ્રી : એ તો એ બધું ચાલે જ. પેસતાંય સ્પીડી પેસે અને નીકળતાંય સ્પીડી નીકળે છે. (પા.૧૭૪)[9] નિર્લેપતા, અભાવથી ફાંસી સુધીએવી ખબર પડે જપ્રશ્નકર્તા : સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એ તો એનું મોઢું-બોઢું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી. ન ખબર પડે ? પ્રશ્નકર્તા : પડે. દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે ! પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એક્સ્પ્રેશન (હાવભાવ) ના લાવે. દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા. એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. ભારે નીકળ્યું હોય તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ? પ્રશ્નકર્તા : ખબર પડે ને. દાદાશ્રી : તેય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાંના અભિપ્રાયથી દૂર થવા માટે છે અને પ્રતિક્રમણથી (પા.૧૭૫)શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલેય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રીએક્શન (પ્રતિક્રિયા) લે. પ્રશ્નકર્તા : એનો અર્થ એમ કે પ્રતિક્રમણ કરતાં રહેવું ને ધીમે ધીમે આપણી ટેવો જતી રહેને બધી ? દાદાશ્રી : પ્રતિક્રમણથી બધું જતું રહે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પાછળ જેટલો ભાવ વધારે જોરથી હોય એટલું... દાદાશ્રી : નહીં, સાચા દિલથી હોવું જોઈએ. ભાવથી, શબ્દો એ આવડ્યા કે ના આવડ્યા, એ તો કંઈ નહીં પણ સાચા દિલથી હોવું જોઈએ. નાદારી પ્રકૃતિની ત્યાંદાદાશ્રી : એને તો કોઈ એનામાં ડખલ કરે, એવું કરે તો સામું ‘તું અક્કલ વગરનો છે, ને આમ કરું છે.’ એવું બોલી નાખે, ત્યારે તો એને સંતોષ થાય. પછી આખી રાત નિરાંતે ઊંઘ આવે. પ્રશ્નકર્તા : એવું કેમ થતું હશે ? દાદાશ્રી : અહંકાર એવો કે, કેવો ડફડાવ્યો ? એનો આનંદ લે. તમે હઉ ડફડાવતા’તાને ? પ્રશ્નકર્તા : પણ મેં પ્રતિક્રમણ બહુ કર્યાં, બધાયનાં. દાદાશ્રી : ત્યારે રાગે પડ્યું. પ્રશ્નકર્તા : એને પ્રતિક્રમણ કેમ નહીં થતાં હોય ? દાદાશ્રી : એને પ્રતિક્રમણ શરૂ થાય જ નહીંને. (પા.૧૭૬)પ્રશ્નકર્તા : કેમ ના થાય ? દાદાશ્રી : હજુ તો એ દેવાળું સ્થિતિ. દેવું જ ઓછું થયું નથીને ? પ્રશ્નકર્તા : શેનું દેવું ? કેવા પ્રકારનું દેવું ? દાદાશ્રી : એને નાદારી છે. તમારે તો પ્રતિક્રમણ થાય એવું હતું. એને નાદારી છેલ્લી ડીગ્રીની થઈ, પહેલો નંબર જ છે, એટલે ચાલે એવું છે (!) પ્રશ્નકર્તા : પછી એવું આવે છે કે દોષ દેખાય, દોષ થાય પણ જ્યાં સુધી પ્રતિક્રમણ ના થાયને ત્યાં સુધી ચેન ના પડે. દાદાશ્રી : એ જગ્યાએ આવતાં તો બહુ વાર લાગે. જબરજસ્ત નાદારી છે. કોઈને દુઃખ દેવાનું બાકી નથી રાખ્યું. જે ભેગો થાય તેને દુઃખ જ આપ્યું છે. પ્રશ્નકર્તા : એટલે દુઃખ દેવાથી નાદારી થાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું થાય ? નાદારી જ થાયને ? પ્રશ્નકર્તા : શું શું કર્યું હોય તો નાદારી થાય ? દાદાશ્રી : બધું આવું કર્યું હોય, લોકોને દુઃખ દીધાં હોય, એણે કોઈને બાકી જ રાખ્યા નથીને, મા-બાપ હોય કે ગમે તે. પૂર્વે લુચ્ચા લોકોના ટોળામાં આવી ગયેલા. કેટલાય અવતારથી આવું ને આવું જ રહ્યા કરેલું, એવું એને ગમે જ ને ! પ્રશ્નકર્તા : હવે ના ગમે. દાદાશ્રી : કેટલાં કર્મ ભર્યાં હતાં. એની ઊંચાઈ જોઈ તમે ? ગંઠાઈ ગયેલો હોય, બહુ કર્મ હોયને તેમ દેહ નાનો હોય, સાંકડો હોય. પ્રશ્નકર્તા : હવે ઉપાય શું કરે ? પ્રતિક્રમણ નથી થતાં તો બીજું શું કરે ? દાદાશ્રી : થોડીવાર કરે તો, આમ થોડે થોડે થોડે આગળ વધે. (પા.૧૭૭)પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. દાદાશ્રી : અત્યારે અસરકારક ના હોય, પણ એ કરતાં કરતાં પછી અસરકારક થતો જાય. પ્રશ્નકર્તા : એક દહાડો થઈને ઊભું રહે. દાદાશ્રી : પતાવવાની સ્પીડેય એટલી જ છે. પ્રશ્નકર્તા : નાનપણથી એવું જ હોય તો એનો અર્થ ગયા ભવે એવા ભાવ કરેલા ? દાદાશ્રી : રોફ પાડવા, ગયા અવતારના ભાવ કરેલા, બીજાને દબડાવી દઉં, બીજાને આમ કરી નાખું, બિવડાવી દઉં, બીજાને આમ કરી નાખું. પ્રશ્નકર્તા : તો આ બિવડાવીએ એટલે તો કેટલો મોટો દોષ થયો કહેવાયને ? દાદાશ્રી : એ તો જ્યારે ખબર પડેને, ત્યારે ખબર પડે. એવું તમને કોઈ બિવડાવે ત્યારે ખબર પડે કે ઓહોહો ! આ લોકો આવું કરે છે ! પણ તે આપણે કરીએ છીએ તે ખબર ના પડે ? દુઃખ દેવાયાનું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : મારાથી એને દુઃખ થાય એવું કશું કરવું નથી, છતાં એને દુઃખ દેવાઈ જાય છે. એવી આપ કૃપા કરો કે, મારાં પરમાણુ ઊછળે નહીં. દાદાશ્રી : આજે તમને આશીર્વાદ આપીશું. તમારે એની માફી માંગ માંગ કરવાની. ગયા અવતારમાં બહુ એને ગોદા માર માર કરતી હતી. પ્રશ્નકર્તા : બહુ થયું. મારી મોટી ગાંઠ છે આ. દાદાશ્રી : હા. એ તો કંઈ કરવું પડેને ? એની માફી માંગ માંગ (પા.૧૭૮)કર્યા કરવી. નવરાશ મળે કે ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરવું. ટૂંકમાં કરવું. એની જોડે અતિક્રમણ કર્યું છે. એટલે પ્રતિક્રમણ કરવું પડે. ગોદા માર માર કર્યા છે તે ? પ્રશ્નકર્તા : હું એના બહુ જ પ્રતિક્રમણ કરું છું. દાદાશ્રી : ખૂબ કરજે. ‘હું એની ક્ષમા માગું છું’ અને હે દાદા ભગવાન ! મને એને કંઈ દુઃખ નહીં આપવાની, ત્રાસ નહીં આપવાની શક્તિ આપો. એ માગ માગ કરવાનું. અમે એ ચીજ આપીએય ખરા. તું બોલીશ તો મળશે. પ્રશ્નકર્તા : રોજ માંગીશ. દાદાશ્રી : સારું. પ્રશ્નકર્તા : આપણાથી કિંચિત્માત્ર દુઃખ થઈ ગયું હોય તો અહીં એકાંત મળ્યું હોય તો એમનું પ્રતિક્રમણ કરીએ. એ ચાલી શકે ? દાદાશ્રી : એ તો તરત જ તે ઘડીએ જ કરી નાખવું. કોઈને દુઃખ દેવાની ઇચ્છા તને થતી નથી ને હવે ? પ્રશ્નકર્તા : કોઈ વાર દેવાઈ જાય. દાદાશ્રી : દુઃખ દેવાઈ જાય તો શું કરો ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ. દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો. ‘ભઈ, તારી માફી માગીએ છીએ’ એમ કરીને નિકાલ કરી નાખ્યો. પસ્તાવાથી કર્મો ખપેપ્રશ્નકર્તા : કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ? દાદાશ્રી : પસ્તાવો થાય એટલે પછી તરછોડ મારવાની ટેવ છૂટી (પા.૧૭૯)જાય, થોડો વખત તરછોડ મારીને. પસ્તાવો ના કરે ને મેં કેવું સારું કર્યું માને, તો તે નર્કે જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ. પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે ‘ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ’, એમ કહેવું. આવું બોલવાથી એના ઘા રુઝાય. ઉપાય, તરછોડનાં પરિણામનોપ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ? દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માંગવી કે, ‘ભઈ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.’ એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રુઝાય. અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરનેય તરછોડ ના વાગે. અરે ! છેવટે સાપ થઈનેય બદલો વાળે. તરછોડ છોડે નહીં, એક માત્ર પ્રતિક્રમણ બચાવે. શું આવાં પાપો ધોવાય ?પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ? (પા.૧૮૦)દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યાં કરીએ ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : સાસુએ વહુને કહ્યું, ને પેલી વહુએ આપઘાત કરી નાખ્યો, ત્યાં સુધીનું થયું. એમાં એ મરી ગઈ. પછી એનું પ્રતિક્રમણ કરીએ તો સામાને શાંતિ થાય ? દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં, બીજી જવાબદારી આપણી નથી. અને જો જીવતો હોયને તો આપણે કહેવું, શું નામ છે આપનું ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તે જીવતો હોય તો આપણે એનેય કહેવાય કે ‘આ ચંદુભાઈ (ફાઈલ નં.૧)માં તો અક્કલ નથી. તમે એને માફ કરજો.’ એવું કહેવું આપણે. એટલે ખુશ થઈ જાય. આપણી અક્કલ ઓછી છે, એવું દેખાડ્યું કે સામો ખુશ થઈ જાય. એવું કહેવું કે, ‘ચંદુભાઈમાં કંઈ બરકત નથી, અક્કલ નથી, તેથી આ તમને આવું કર્યું. એટલે આવું થયું હશે.’ એવું કહીએ એટલે પેલો ખુશ થઈ જાય. હાથ ભાંગી ગયા પછીએ જો કદી એટલું કહીએને તો હાથ ભાંગી જવાની ખોટને ના ગણે. પેલો ખુશ થઈ જાય. કારણ કે ભાંગી જવો એ ડિસાઈડેડ (નિશ્ચિત) હતું પણ નિમિત્ત આપણે હતા. તે નિમિત્ત થઈ ગયું. એટલે વાળી દીધું. રકમ જમા-ઉધાર થઈ ગઈ. આમ ફાંસી આપતાંય નિર્લેપપ્રશ્નકર્તા : માઠા ભાવ થઈ જાય છે, પણ તરત જ એમ થાય છે કે આ મેં ભૂલ કરી. દાદાશ્રી : એટલે આ તમને કહું કે, રિલેટિવમાં જે ડિસ્ચાર્જ ભાવ છે, એ માઠા ભાવ છે. ડિસ્ચાર્જમાં માઠા ભાવ થાય છે. અને ચાર્જ થતું નથી. માઠા ભાવ ઉપર તરત જ એમ કહે છે કે આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એ શું કહે છે ? સંયમ. નહીં તો માઠા (પા.૧૮૧)ભાવ થાય તેની સાથે એકાકાર થવું એનું નામ અસંયમ. પણ જુદું ને જુદું રહે છે ને, માઠા ભાવથી ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : હવે માઠા ભાવ ઈફેક્ટિવ (અસરકારક) વસ્તુ છે. ટાળ્યા ટળે નહીં અને અત્યારે આ ચંદુલાલ કો’કને ટૈડકાવે, તો તમને મહીં એમ થાય કે, આમ ન હોવું જોઈએ. એ શેને માટે ? એવું થાય ? એટલે ચંદુલાલ કરે તેય તમે જાણો. આ મહીં આવું કરે છે, તેય તમે જાણો અને ‘તમે’ જાણનારા, આ બેઉની વાતને. સંયમ પરિણામને જાણનારા, અસંયમનેય જાણનારા, એ તમે ‘પોતે’. અનુભવમાં આવે છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હા. આ બધો તાલ જોયા કરો. એક જજ મને કહે કે, ‘સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાંતદંડની શિક્ષા કરવી કે નહીં ?’ ત્યારે મેં એને કહ્યું, ‘એને શું કરશો, દેહાંતદંડની શિક્ષા નહીં આપો તો ?’ એણે કહ્યું, ‘પણ મારે દોષ બેસે.’ મેં કહ્યું, ‘તમને મેં ચંદુલાલ બનાવ્યા છે કે શુદ્ધાત્મા બનાવ્યા છે ?’ ત્યારે એ કહે, ‘શુદ્ધાત્મા બનાવ્યા છે.’ તો ચંદુલાલ કરતા હોય તેના તમે જોખમદાર નથી. અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજીખુશીથી ભાગીદાર થતા હો તો અમને વાંધો નથી. પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે આ કહેવું કે, ‘હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?’ અને તેનું પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટ (સરકાર)ના કાયદા પ્રમાણે કામ કર્યે જજો. પછી ન રહે જવાબદારીપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધા લોકોને સ્વચ્છંદતાનું લાયસન્સ મળી જાય ? દાદાશ્રી : ના, એવી સમજ નહીં રાખવાની, વાત એમ જ છે. (પા.૧૮૨)આપણે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા. તમારી જવાબદારીમાંથી તમે છૂટા. પછી એ ચિંતા કરીને, માથું ફોડીને મરી ય જાય. તેની હવે તમારે કશી લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : આપણે પ્રત્યક્ષમાં ‘સોરી’ કહીએ છીએ, ત્યારે તેમાંય જુનિયર (હાથ નીચેના) માણસને કહીએ તો, તેના મગજમાં એટલી બધી રાઈ ચઢી જાય છે, જેનો કોઈ હિસાબ નહીં. દાદાશ્રી : એવું કશું કહેવાનું નહીં. જો આપણે બોલ છૂટી ગયો, પછી આપણને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય એટલે પ્રતિક્રમણ કરીએ છીએ. પછી ‘યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ.’ તમે એના જવાબદાર નથી. એટલે અમે આ કહેલું કે એમની જવાબદારી અમે માથે સ્વીકારીએ છીએ. કારણ કે તમે જો આટલું કરોને તો પછી તમારી જોખમદારી નથી. પછી એની વકીલાત કરતાં અમને આવડે. પણ આટલું અમારું કહેલું કરો, પછી તમે કાયદામાં આવી ગયા. એટલે પછી વકીલાત, પછી જે થાય એ તો અમને આવડે. અમે પહોંચી વળીએ. પણ આટલું અમારું કહ્યું કરો, તો બહુ થઈ ગયું. આપણા કહેવાથી સામો આપઘાત કરે એવી દશા થઈ ગઈ હોય તો આપણે પા-અડધો કલાક પ્રતિક્રમણ કર કર કર્યા કરવું કે અરેરે ! મારી આવી દશા ક્યાંથી થઈ આ ? આવું મારા નિમિત્તે બધું ? પછી આપણી જવાબદારી નથી. એટલે આમાં ગભરાવું નહીં. આટલે સુધી અમારું આ પાળ્યું તે પછી આગળની કોર્ટનું બધું અમે અમારે માથે રાખીએ છીએ. ઝઘડો ઊભો થાય તે એને અમે પતાવી દઈએ. પણ આ આટલે સુધી જાવને, તો બહુ થઈ ગયું. જેટલો હિસાબ છે એટલું જ, બહુ ઊંડું ઊતરવા જેવું છે નહીં. જ્ઞાનીનાં વાડ સહિત પ્રતિક્રમણઅમારાથીય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઇચ્છા ના હોય તોય, હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે- (પા.૧૮૩)ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એના પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ, એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ. પડવા તો ના જ દઈએ. સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી. બેભાનપણે બોલી રહ્યો છે. એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચઢાવેલો ખોટો. અમે સૈદ્ધાંતિક હોઈએ કે ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. અમે એના વિચારો જ બધા ફેરવી નાખીએ. અમે અહીં ઘેર બેઠા બેઠા એના વિચારો જ ફેરવી નાખીએ. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. મહેનત વધારે કરવી પડે. તમારે માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં, એવું કરવું પડે. એવો કો’ક જ કેસ હોયને ! બધા કેસ ના હોયને !! પ્રશ્નકર્તા : આ વાડ-બાડ મૂકવાનું એ બધું શું છે ? એ બધું શું કરવાનું એને ? દાદાશ્રી : એનું અંતઃકરણ પકડી લેવાનું, એનું વ્યવસ્થિત અમારા હાથમાં લઈ લેવાનું. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો તો પડી જાયને ! પ્રશ્નકર્તા : આપણે જે કંઈ પ્રતિક્રમણ કરીએ, એ અતિક્રમણ થયું એટલે કરવાનું છે. તો સામાવાળાને આપણા અતિક્રમણ દરમ્યાન આપણે જે દુઃખ પહોંચાડ્યું એટલા માટે પ્રતિક્રમણ કરવાનું ? (પા.૧૮૪)દાદાશ્રી : હા, એટલા માટે જ. બીજા કોઈ કારણ માટે નહીં. હવે આપણે તો લેવાદેવા જ ના રહીને ! હવે આની જોડે વ્યવહાર જ નથી રહ્યો. ફક્ત આ કોઈને દુઃખ ના પડે એટલું જ જરા જોવા પૂરતું જ, તે જે ગુનેગાર હોય તેને કહી દેવું કે ‘પ્રતિક્રમણ’ કર. બાકી આપણે ‘શુદ્ધાત્મા’ને તો કંઈ ધોવાનું નથી રહ્યું. ધોવાઈ ગયું બધું. પ્રશ્નકર્તા : પણ આપણાથી બીજીવાર આવાં અતિક્રમણો ના થાય ? દાદાશ્રી : ‘ના થાય’ એવું નહી,ં અતિક્રમણો એ ડિસ્ચાર્જ છે એટલે હોય જ. જેટલાં હોય એટલાં જ નીકળવાનાં. ‘ના થાય ને થાય’ એવો સવાલ જ નથી. આપણને લાગે કે આ અતિક્રમણ છે, એટલે તેનાં પ્રતિક્રમણ કરાવવાં. અતિક્રમણ ના હોય તો ડિસ્ચાર્જ જોયા જ કરવાનું. બીજું કશુંય નહીં. પ્રશ્નકર્તા : આપણા કોઈ સગા છે, તો એ એટલી બધી મોટી ભૂલો કરે છે, બ્લંડર્સ, કે એને ભગવાનેય માફ ના કરે. અને આપણી પાસે માફી માંગે, ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ, એવું કહ્યા કરે તો ત્યાં માણસ શું કરે ? દાદાશ્રી : માણસે માફી આપવી, ભગવાન માફ ના કરી શકે. ભગવાનમાં નબળાઈને (!) આપણે જબરા કહેવાઈએ. કારણ કે ભગવાન તો છેવટે એનો પૂરેપૂરો બદલો આપે, ત્યારે માફી થાય. એમને તો બદલો આપવાના. આપણે કંઈ બદલો આપવો નથી. આપણે તો માફી આપી દઈએ, સારું થજો તારું ! વારંવાર એ જ ભૂલ કરે તો ?પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માંગે, આપણે માફ કરી દઈએ, ના માંગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીયે ઘડીયે એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું ? (પા.૧૮૫)દાદાશ્રી : પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખવડાવીને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે. માણસ નક્કી કરે કે, હવે મારે ભૂલ કરવી જ નથી, છતાં થઈ જાય છે એ જુદી વસ્તુ છે. પણ કરવી જ છે, એવું કહે તો એનો પાર જ નહીં આવે. એ તો ઊંધે ફરેલો માણસ કહેવાય. પણ કરવી નથી એવું નક્કી કર્યા પછી પોતાને પણ પસ્તાવો થાય અને એ ભૂલનો વાંધો નથી. ભૂલ કરનારને પોતાને પસ્તાવો થાય ને નહીં કરું એવું નક્કી કરે પછી છે તે ફરી ભૂલ થાય તો વાંધો નથી. નહીં કરું એવું નક્કી પણ કરે, પસ્તાવો થાય, પશ્ચાત્તાપ કરવો જોઈએ. પછી થાય તો પાછો પશ્ચાત્તાપ કરવો જોઈએ. એનું કારણ શું છે ? ત્યારે કહે, ભૂલનાં કેટલાં પડ છે, ડુંગળીની પેઠે, એ પડ પસ્તાવો કરવાથી જતાં રહે, પણ બીજું પડ પાછું આવે, એટલે ડુંગળી એવી ને એવી દેખાય. એ તો જ્યારે બધાં પડ જતાં રહે ત્યારે ખાલી થાય. ત્યાં સુધી ના થાય. એ તો અનંત અવતારની ભૂલો પાર વગરની કરી છે. એ છે અર્થહીનપ્રશ્નકર્તા : એને ખબર જ ના પડે કે હું ભૂલ કરું છું અને ભૂલ કર્યા જ કરે તો ? પસ્તાવોય ના થાય તો ? દાદાશ્રી : તો પછી એનો અર્થ જ નહીં. એ મીનીંગલેસ (અર્થહીન) છે. તે જ્યાં ભાન જ ના હોય ત્યાં મીનીંગલેસ છે. આપણે એનો વિરોધ તો કરવો જોઈએ. એને ભાન કરાવવું જોઈએ. ભાન થવા માટે વિરોધ કરવો જોઈએ. પ્રશ્નકર્તા : એ ઘડીઘડી કોઈ આવી ભૂલ કરે તો આપણે એના (પા.૧૮૬)માટેનો પ્રેમભાવ ઊઠી જાય, એને માટે માન હોય તે ઊઠી જાય. દાદાશ્રી : ત્યાર પછી શું થાય ? આપણે બનતાં સુધી ના ઉઠાડવો. કારણ કે આ કળિયુગમાં તો આ સિવાય બીજું શું હોય તે ? આપણે રિલેટિવ સંબંધ છે, એ બીજું શું હોય તે ? આપણે એ ઉઠાડ્યા પછી આપણું ઊલટું બગડી જાય. આપણે અજાણમાં ગયા, ત્યારે આપણે શું કરીએ છીએ, એના જેવું આપણે રાખવું. છોકરાને શાક લેવા મોકલીએ અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય ? કંઈ બીજો લેવા જવાય ? બીજો મળે નહીંને ? પ્રશ્નકર્તા : મળે તો એનાથી ચઢિયાતા ના હોય એની શી ખાતરી ? દાદાશ્રી : હા. આજે બધું પૂછો અને બધું કામ કાઢી લો. સામાને લો નભાવીપ્રશ્નકર્તા : તો પછી એવી વ્યક્તિ માટે આપણે શું કરવું જોઈએ ? આ પેલો ભૂલ કર્યા કરે સામો માણસ ને એને કંઈ પસ્તાવો ના થાય, ખબરેય ના પડે તો આપણે ત્યાં શું કરવાનું ? દાદાશ્રી : આપણે આપઘાત નહીં કરવો જોઈએ. બીજું શું કરવાનું ? તે આ દેહનો આપઘાત એટલે પેલો મોટો આપઘાત, પછી મનનો આપઘાત કરે. મનનો આપઘાત કરે એટલે સંસાર ઉપરથી મન ઊઠી જાય. એવું નહીં કરવું જોઈએ. એને લીધે છોકરા ઉપરથીય મન ઊઠી જાય, બધા ઉપરથી મન ઊઠી જાય. એવું નહીં કરવું જોઈએ. આપણે નભાવી લેવું જોઈએ. આ સંસાર એટલે જેમતેમ નભાવીને કાઢવા જેવું છે. અત્યારે કળિયુગ છે, એમાં કોઈ શું કરે ત્યાં ? ‘ધેર ઈઝ નો સેફસાઈડ એની વેર.’ (ક્યાંય સલામતી નથી.) આ તો સેફસાઈડ માનીને સૂઈ જવાનું. ‘સિન્સિયારિટી-મોરાલિટી ગોન ફોર એવર.’ (નિષ્ઠા અને નૈતિકતા હંમેશ માટે ગઈ). એટલે આ જ્ઞાન લઈ લેજો, તો સુખી થવાય (પા.૧૮૭)કાયમનું. પછી આ અડચણ તો નહીં કોઈ જાતની. એય મજા ! પ્રતિક્રમણની સૂક્ષ્મ કચાશોપ્રશ્નકર્તા : આપણાથી કોઈ દુભાયો હોય તેથી અહીં ન આવતો હોય, પછી આપણે અહંકાર કરીને પણ ખંખેરી નાખીએ ને કહીએ ભઈ, હવે મેં પ્રતિક્રમણ કરી લીધું, હવે એ નથી આવતો એમાં મારે શું લેવાદેવા ? દાદાશ્રી : એ તો બધું ખોટું કહેવાય. પણ એકંદરે આ બધું આપણા નિમિત્તે બની ગયુંને ! તે આપણે બને એટલું કરવું જોઈએ. પછી ના બને તો રહ્યું. ના બને તો પછી એના માટે કંઈ મરી ફિટાય નહીં. પ્રશ્નકર્તા : એ બરાબર છે પણ આજે પોતાની અંદર સમજણની વાત છે કે પોતાની સમજણમાં શું હોવું જોઈએ ? કે હવે મેં પ્રતિક્રમણ કર્યું, મને એના માટે કશું નથી. હવે પોતે ગોળી છોડી દે, પછી પોતાને તો આટલું કરીને ભૂંસી નાખવાનું સહેલું છે, પણ જેને વાગી હોય એને લાય બળતી હોયને ? દાદાશ્રી : પણ એ (અહીં) દર્શન કરવા નથી આવતો, તે કેટલી લાય બળતી હશે કે આ નાલાયક માણસ મળ્યો, તેથી મારે આ જવાયું નહીં. એટલે એ તો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએને ? પ્રશ્નકર્તા : બીજું એવું છે કે એ ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આપણે એનું પ્રતિક્રમણ કર્યું અને આપણને એના માટે અભિપ્રાય નથી રહ્યા હવે ? હવે એ હંડ્રેડ પરસેન્ટ આપણો અભિપ્રાય ઊડી ગયો છે ? દાદાશ્રી : છતાં એને જતું નથીને ? પ્રશ્નકર્તા : એનું નથી જતું. અને આપણુંય કદાચ મહીં રહેતું હોય, કોઈ વાર એવુંય થઈ જાયને કે હવે એ તો કેટલા સેન્સિટિવ છે, (પા.૧૮૮)આટલું કહ્યું, એમાં આટલું બધું શું લઈ લેવાનું ? એવું પણ આવી જાયને પોતાને, તો ત્યાં અભિપ્રાય ઊડવામાં એટલી કચાશ રહે. દાદાશ્રી : આપણને રહેતો હોય તોય એ ખબર ના પડે. પ્રશ્નકર્તા : ના પડે. એ ખરી વાત છે. બહુ ઝીણું છે આ. એટલે સેફસાઈડ માટે એમનું પ્રતિક્રમણ કરવું સારું ? દાદાશ્રી : આવા કેસ દુનિયામાં ઓછા બને છે. એટલે વાળી આવવું. જુઓને, આવતાં નથીને ? અકર્તા છતાં સામાને દુઃખઆપણા મહાત્માઓ જે કરવાનું કહે છે, એ તો ડિસ્ચાર્જ ભાવે કહે છે. એ તો પેલા નાટકમાં એમ કહેતો હોયને, તમને મારી નાખીશું. તે એને હિંસા ના બેસે. પ્રશ્નકર્તા : આપણે અકર્તા રહીએ છીએ પણ ચંદુભાઈ જે પણ કંઈ કર્મ કરે છે, એનાથી એના આજુબાજુવાળાને કોઈને દુઃખ પહોંચે છે, તો એમને એમ લાગે છે કે આ ચંદુભાઈ જ એમને દુઃખ પહોંચાડે છે. તો એની આપણને જે અસર પહોંચે તો એના માટે શું કરવું ? દાદાશ્રી : એ તો મેં કહ્યું છેને, ચંદુભાઈ જો કોઈને અતિક્રમણ કરે, એટલે દુઃખદાયી થઈ પડે, તો ચંદુભાઈને કહેવું કે, ‘ભઈ, પ્રતિક્રમણ કરો, એના નામનું’. જો અતિક્રમણ નહીં તો કશું જ નહીં કરવાનું. (પા.૧૮૯)[10] અથડામણની સામે...ઋણાનુબંધી સાથેપ્રશ્નકર્તા : જેની સાથે કંઈ ઋણાનુબંધ હોય એની જ સાથે ટકરાઈ જવાયને ? બીજા કોઈ સાથે ના ટકરાવાયને ? દાદાશ્રી : એ તો પહેલાંના હિસાબ હોયને, ત્યાં જ ટકરાવાય. પ્રશ્નકર્તા : હવે મારે કોઈની સાથે નથી ટકરાવાતું, બધે સાચવી લઉં પણ આમની સાથે છ-આઠ મહિને, જો કે હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ એમની સાથે આંતરિક તપ ના થાય, એમને કહેવાઈ જ જાય. દાદાશ્રી : તે વાંધો નહીં. એ તો તારે નિકાલ કર્યે જ છૂટકોને ! એમણે નિકાલ કરવો, પછી તમારે નિકાલ કરવો, ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની નહીં કહેવાય, બે જણની જ ભૂલ હોય. કોઈકની ચાળીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી એંસી ટકા, સિત્તેર ટકા હોય એ બેની કંઈક હોવી જોઈએ. પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં. દાદાશ્રી : એ આવી જાય. પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને (પા.૧૯૦)સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં. દાદાશ્રી : પણ એટલે એ ધીમેધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા કરે. પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, અણીને ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારા કષાયો ઉત્પન્ન થાય, એના પર જો કાબૂ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ ! દાદાશ્રી : એવું છે ને, કાબૂ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે. એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય કે, ‘ચંદુલાલ, કેમ છે, કેમ નહીં, એ વાતો કરવા જેવી એ જ ઉપાય, શું કહેવું જોઈએ ? પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ? દાદાશ્રી : એવું કહેવાય. એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય, તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાનેય કરવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું, એવું માની લે. કર્મોદયના ફોર્સ સામેપ્રતિક્રમણ કર્યું એટલે હવે આપણો આ બાબતનો અભિપ્રાય છૂટ્યો કે આ જ સાચું છે અને આ ખોટું છે. એ આપણો અભિપ્રાય તૂટી ગયો. પ્રશ્નકર્તા : અભિપ્રાય તો મહાત્માઓના તૂટીને ભૂક્કો થઈ ગયા પણ ઉદય આવે ત્યારે હલાવી કાઢે. આ હમણાં એ ભાઈ જે બોલ્યા, એ એમના સ્વભાવથી બહાર બોલાઈ ગયું છે. (પા.૧૯૧)દાદાશ્રી : હા, સ્વભાવની બહાર બોલાઈ ગયું, એટલું તમે સમજી ગયા ને ? કે આ કર્મના ઉદયે એટલું બધું જોર કર્યું કે પોતે ન બોલે તેવુંય બોલી ગયા. એટલે હવે આપણે વધારે પસ્તાવો થાય કે આ શું હતું ? ત્યારે કહે, મહીં હજુ મોટો રોગ છે, તે નીકળી જવા દો. અને તે ઘડીએ એને માટે આજ નિરાંત ખોળી કાઢી અને પાંચેક કલાક પશ્ચાત્તાપ કર કર કરવા. પશ્ચાત્તાપમાં શું કહેવું પડે ? તમારે ક્યાં જવાનું છે ? તમારે શું ભાંજગડ ? અને વખતે ભાંજગડ થઈ ગઈ તો ‘બન્યું એ કરેક્ટ’. છોડી દેવાનું. ખેંચ રાખી તો માર પડે. તમારી જે પ્રકૃતિ નહોતી તે નીકળી ખરી ? પ્રશ્નકર્તા : કોઈ દહાડોય આવું કરે નહીં અને ખબર નહીં એ કેમ કર્યું ? દાદાશ્રી : એ જ જોવાનું, અને પેલાનો રોગ નીકળવાનો હશે, આમનો રોગ નીકળવાનો હશે તે ભેગું થઈ ગયું. પ્રશ્નકર્તા : આ તો એમનો ઉદય છે, એ પોતે નથી બોલતા. દાદાશ્રી : હા, એ પોતે નથી, એનો ઉદય બહુ જોર કરે છે. આપણે પૂછવું કે, તમારી ભાવના આવી હતીને ? ત્યારે કહે, ‘ના. મારી ઇચ્છા આવી નહોતી તોય થઈ ગયું.’ તો એ નીકળી ગયું, ધોવાઈ ગયું અને સાફ થઈ ગયા, ક્લિઅર કટ ! એવું છે ને, મન ક્લિઅર કરવાનું છે. જાથું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : અમુક કર્મોમાં વધારે, લાંબી બોલાચાલી થઈ હોય તો, લાંબો બંધ પડે. તે માટે બે-ચાર વાર પ્રતિક્રમણ કે વધારે વાર કરવાં પડે કે પછી એકવાર કરે તો આવી જાય બધામાં ? દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. (પા.૧૯૨)એકદમ પ્રતિક્રમણ બહુ ભેગાં થઈ જાય, તો જાથું પ્રતિક્રમણ કરવું. ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.’ આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં. ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું’ પછી પતી ગયું. સમાધાન, આતમજ્ઞાન થકી જપ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત સારી છે. ઘરમાંય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતા હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતા હોય, ત્યાંય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએને ? દાદાશ્રી : હા, સમાધાન જોઈએને ! એ આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે. પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવું ના જોઈએને ? દાદાશ્રી : ટકરાય છે, એ તો સ્વભાવ છે. ત્યાં એવો માલ ભરેલો લાવ્યા છે એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આદત જ છે આવી. એવું આપણે જાણવું. ચંદુભાઈની આદત છે, એવું આપણે જાણવું. એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત આદતવાળાની અને ‘આપણે’ આપણાવાળા ! અને પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ. બાકી ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીંને ! એ ટકરામણથી આપણે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. ટકરામણ તો અવશ્ય થાય. એ તો બૈરી-ભાયડાનેય થાય. પણ તે એકના એક રહીએ છીએ ને પાછા ? એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો. પ્રશ્નકર્તા : એમાં તાંતો ન રહેવો જોઈએ. (પા.૧૯૩)દાદાશ્રી : તાંતો રહેતો જ નથી. જે કોઈ કહેશે કે, મને તાંતો રહે છે, એય તાંતો નથી. (મહાત્માઓ માટે) પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએને ? દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એમાં એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાના ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું, કારણ કે એક પડ જતું જ રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાં ને ? મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે, આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહેને ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં ભાંજગડ નથી. ટકરાયા પછી જુદું નહીં પડવું. એ અહીંયાં પુરુષાર્થ છે. મન જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતાં હોઈશું ? તમારી જોડેય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાંય ટકરામણ નથી થતીને ? એક માણસે મને એમ કહ્યું કે, ‘હું મહાન બળવાખોર છું, તમારે ત્યાં જ મને એલાઉ કર્યો, બાકી મને કોઈ એલાઉ ના કરે.’ મેં કહ્યું, ‘ભાઈ, અહીં તો બધાની જગ્યા છે. બળવાખોરની, બધાની જગ્યા અહીં !’ બળવો કરો પણ આત્મા પામો. બળવો કરી કરીને પાંચ-દસ જણને ગાળો દઈ દેશે, બીજું શું કરવાના હતા ? ‘તમે અક્કલ વગરના છો, આમ છો, તેમ છો’ કહેશે. તે પુદ્ગલને જ ગાળો દેવાનો છે ને ? આત્માને કોઈ દઈ શકે ? ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે ? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે, પણ માલ ભર્યો હોય તો. ના ભર્યો હોય તો નહીં. અમારેય ટકરામણ થતી હતી. પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે. અને (પા.૧૯૪)અમે નિકાલ કરીને આવેલા છીએ, આ જ્ઞાનથી ! બધું વિચાર કરી કરીને આવેલા છીએ. અને તમારે નિકાલ કરવાનો બાકી છે. તમે તો મોક્ષમાં બેઠા, ઉપર ત્રીજો માળ ચણીને, પણ અહીં નીચે ચણવાનું બાકી રહ્યું ને ? હવે ઊંધું ચણતર કરવું પડશે, ઉપર બેઠા પછી. અને સીધા મોક્ષ માટે તો પાયા ખોદીને, તગારા, પાવડા અહીં મૂકીને જ લોક જતાં રહેલાં. મહીં શાંતિ ના હોય, ત્યાં કોણ માથાકૂટ કરે આ ? પહેલી શાંતિ અમે આપીએ, પછીથી નીચેનું બધું એ કરી લે. એટલે અક્રમ કાઢ્યું ને આ ! ત્રણ અવતારની ગેરન્ટીઅથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે, ‘એણે મને આમ કહ્યું, તેમ કહ્યું’ એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. ‘જ્ઞાનીપુરુષ’ બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે, આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતાં આવું પકડ્યું હોય કે, ‘ઘર્ષણમાં ક્યારેય ન આવવું.’ એટલે પછી શું થાય ? કે શક્તિઓ અનામત રહ્યા કરે ને દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી થતી ખોટ ના જાય. વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ (પા.૧૯૫)કરીએ તો ભૂંસાઈ જાય. આ સમજવું જોઈએ કે, અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ, નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતાં વાંધા બહુ આવે ને મોડું થાય ! આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષે ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ કરો. એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય. અથડામણો, સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીનીપ્રશ્નકર્તા : તો એ સ્થૂળ અથડામણનો દાખલો આપ્યો, પેલો સાપનો, થાંભલાનો કીધો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એના દાખલા. સૂક્ષ્મ અથડામણ કેવી હોય ? દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : એટલે કેવી કહેવાય ? દાદાશ્રી : એ મારંમાર કરો છો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ? દાદાશ્રી : એ સ્થૂળમાં. જે પેલાને ખબર ના પડે. જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય. પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ? દાદાશ્રી : પહેલાં સ્થૂળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી (પા.૧૯૬)સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય ? દાદાશ્રી : તું કો’કને મારતો હોય, ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે. તે બધું જુએ પણ મનથી તરત સહેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર. દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા : એટલે બીજાના દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ? દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે જ નહીં છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. એ દોષ તને દેખાવા જોઈએ. કારણ કે એ શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે. પ્રશ્નકર્તા : દોષ જુએ છે એ કોણ જુએ છે ? દાદાશ્રી : દોષ જોનારો. પ્રશ્નકર્તા : પણ એ મનનું સ્થાન ત્યાં નથી. માનસિક સ્તરે નથી એ વસ્તુ ? દાદાશ્રી : એ ગમે તે સ્તર છે, પણ દોષ જુએ છે. પ્રશ્નકર્તા : તો એ જે માનસિક અથડામણ કીધી તે ? દાદાશ્રી : એ તો બધું સૂક્ષ્મમાં ગયું. પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે ? દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો. પ્રશ્નકર્તા : માનસિક અથડામણ અને જે દોષો... દાદાશ્રી : એ માનસિક નથી. (પા.૧૯૭)પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય. અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત. પ્રશ્નકર્તા : એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે, ચંદુલાલ જોડે તન્મયાકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય. દાદાશ્રી : હા. સૂક્ષ્મતમ અથડામણ ! એને ટાળવી. ભૂલથી તન્મયાકાર થયું ને. પછી ખબર પડે છે ને કે, આ ભૂલ થઈ ગઈ ? પ્રશ્નકર્તા : હવે કેવળ શુદ્ધાત્મા તત્ત્વ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે ખપતી નથી, છતાં પણ આ ચંદુભાઈને તન્મયાકારપણું અવારનવાર રહે છે. એટલે એ સૂક્ષ્મતર અથડામણ થઈને ? દાદાશ્રી : એ તો સૂક્ષ્મતમ કહેવાય. પ્રશ્નકર્તા : એક ભાવના એવી છે કે, એક શુદ્ધાત્મા તત્ત્વ સિવાય અને દાદાની પાંચ આજ્ઞા સિવાય બીજી કોઈ વસ્તુમાં કંઈ જ ઇચ્છા નથી. દાદાશ્રી : આ તો મુખ્ય વસ્તુ જ હોયને બધાને. એટલે ધીમે ધીમે શું કરતાં જવાનું છે કે એ દેખાવું જોઈએ. પ્રશ્નકર્તા : એ દેખાય છે એ, કે આપણે આ ત્રીજી આજ્ઞાનો ભંગ થયો, બીજી આજ્ઞાનો ભંગ થયો, એવું રીતસર દેખાય છે. દાદાશ્રી : હા, રીતસર દેખાય. બરાબર છે. પ્રશ્નકર્તા : એ ભંગ થયો એ અથડામણ થઈ કહેવાય ? દાદાશ્રી : એ તો ફાઈલ ફરી તપાસવાની જરૂર છે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણની વાત કરી કે, સામાવાળો (પા.૧૯૮)આપણા અભિપ્રાયમાં નિર્દોષ જ છે છતાં દોષિત ઠરાવાઈ જાય છે. એટલે એની સાથે અથડામણ થઈ જાય છે ને ? દાદાશ્રી : દોષિત ઠરાવાઈ જાય છે. એ ગુનો લાગુ થાય છે ને ? પ્રશ્નકર્તા : એમાં થોડેઘણે અંશે તન્મયાકાર થયો અને પાછા આવી ગયા. દાદાશ્રી : પાછા આવી જાય. પ્રશ્નકર્તા : તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કોઈ છે ? દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ આપણી નવ કલમો, એય પ્રતિક્રમણ જ છે. બીજું કોઈ હથિયાર નથી. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય બીજું કોઈ સાધન નથી. આ ઊંચામાં ઊંચું સાધન. કારણ કે અતિક્રમણથી ઊભું થયું છે જગત. પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રતિક્રમણ તો એટલા ઝડપથી થઈ જાય છે, એ જ ક્ષણે ! દાદાશ્રી : હા, એ જ ક્ષણે થઈ જાય. પ્રશ્નકર્તા : આ તો ગજબ છે, દાદા ! દાદાશ્રી : આ ગજબ જ છે ! પ્રશ્નકર્તા : એ દાદાની કૃપા ગજબ છે ! દાદાશ્રી : હા, એ ગજબ છે. વસ્તુ સાયન્ટિફિક છે ફક્ત. શું એ અહંકાર નથી ?પ્રશ્નકર્તા : એ તો એટલું બધું વિસ્મયકારી છે. ‘બન્યું તે જ (પા.૧૯૯)કરેક્ટ’, ‘ભોગવે તેની ભૂલ’ આ બધાં એક-એક જે વાક્યો છે એ બધાં અદ્ભૂત વાક્યો છે. અને પ્રતિક્રમણ દાદાની સાક્ષીએ કરીએ છીએને, તો એનાં સ્પંદનો પહોંચે જ છે. દાદાશ્રી : હા. ખરું છે. સ્પંદન તરત જ પહોંચી જ જાય અને એનું ફળ આવે છે. આપણને ખાતરી થાય છે કે આ અસર થઈ લાગે છે. સ્પંદનો બધાં પહોંચી જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે પ્રતિક્રમણ કરવું પડે, એ આપણો અહમ્ ના કહેવાય ? દાદાશ્રી : ના. એટલે આપણે પ્રતિક્રમણ નથી કરવાનું. એ ચંદુભાઈનો ગુનો છે, શુદ્ધાત્મા તો જાણે છે, શુદ્ધાત્માએ તો ગુનો કર્યો નથી. એટલે ‘એને’ એ ના કરવું પડે. ફક્ત ગુનો કર્યો હોય ‘તેને’ અને ચંદુભાઈના નામનું કર્યું એ ચંદુભાઈ પ્રતિક્રમણ કરે અને અતિક્રમણથી જ સંસાર ઊભો થયો છે. અતિક્રમણ કોણ કરે છે ? અહંકાર ને બુદ્ધિ બેઉ ભેગાં થઈને. (પા.૨૦૦)[11] પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...રાગમાંથી દ્વેષ ને દ્વેષમાંથી રાગપ્રશ્નકર્તા : અકારણ કોઈનો ડંખ હોય, અકારણ કોઈ દ્વેષ કરે, અકારણ કોઈ કપટ કર્યા કરતું હોય, તો એનો અર્થ એ કે કો’ક જન્મમાં આપણને એના માટે રાગ હતો ? દાદાશ્રી : હા, આપણે આ હિસાબ કર્યો છે. તેનું જ આ રીએક્શન (પ્રતિક્રિયા) છે. પ્રશ્નકર્તા : તો એ આપણો કયો હિસાબ હોય ? આપણા રાગનો કે દ્વેષનો ? દાદાશ્રી : કપટ એ બધું રાગમાં આવી જાય અને અહંકાર ને ક્રોધ એના અંગેનું હોય એ બધું દ્વેષમાં જાય. પેલું રાગમાં જાય, કપટ ને લોભ, લોભની ઇચ્છાઓ થયેલી હોય એ બધું રાગમાં જાય. હું શું કહેવા માગું છું એ પહોંચે છે ? પ્રશ્નકર્તા : હા. પહોંચે છે. દાદાશ્રી : આ રાગ કયો ? તો કહે, લોભ અને કપટ. અને માન અને ક્રોધ એ દ્વેષમાં કહેવાય. એટલે કોઈ કપટ કરતું હોય તો તે રાગમાં ગયો, રાગવાળો, જેની જોડે આપણે રાગ હોય ને એ કપટ કર્યા કરે. રાગ વગર તો લાઈફ જ કોઈ ગયેલી નહીં. જ્યાં સુધી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી રાગ ને દ્વેષ બે જ કર્યા કરે છે, ત્રીજી વસ્તુ જ ના હોય. (પા.૨૦૧)પ્રશ્નકર્તા : પણ દાદા, દ્વેષ એ તો રાગનું જ ફરજન્દ છેને ? દાદાશ્રી : હા. એ ફરજન્દ તેનું છે, પણ એનું પરિણામ છે, ફરજન્દ એટલે એનું પરિણામ છે. એ રાગ બહુ થયોને, જેના પર રાગ કરીએને, તે એક્સેસ (વધુ પડતો) વધી જાય, એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એનાં પ્રમાણની બહાર જાયને એટલે આપણને ના ગમતી થાય અને ના ગમતી હોય એનું નામ દ્વેષ. સમજમાં આવ્યું ? પ્રશ્નકર્તા : હા, સમજમાં આવ્યું. દાદાશ્રી : એ તો આપણે સમજી લેવાનું કે, આપણા જ રિએક્શન આવ્યાં છે બધાં ! આપણે એને માનથી બોલાવીએ અને આપણને એમ થાય કે એનું મોઢું ચઢેલું દેખાય, એટલે આપણે જાણવું કે આપણું આ રિએક્શન છે. એટલે શું કરવું ? પ્રતિક્રમણ કરવાં. બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે ? એની પર પાછું મોઢું ચડાવે ! એટલે ફરી હતું એવું ને એવું જ ઊભું કરે પછી. આપણે શુદ્ધાત્મા થયા એટલે અટાવીપટાવીને, આપણી ભૂલ એક્સેપ્ટ (સ્વીકાર) કરીને પણ ઊંચું મૂકી દેવું જોઈએ. અમે તો જ્ઞાનીપુરુષ થઈને (પણ) એમ બધી ભૂલો એક્સેપ્ટ કરીને કેસ ઊંચો મૂકી દઈએ. માન, શુભમાર્ગાર્થેપ્રશ્નકર્તા : પણ દાદા, માનના પરમાણુ હોય બહુ જ, તો નુકસાનકારક કહેવાય ? દાદાશ્રી : ક્યા ? પ્રશ્નકર્તા : એવું માન હોય કે, ચાલો ભઈ, આનું ભલું કરીએ, આનું સારું કરીએ. દાદાશ્રી : ના, કોઈ વસ્તુ નુકસાનકારક છે નહીં. નુકસાનકારક તો બીજાને તિરસ્કારવાળું માન એ વ્યક્તિને નુકસાનકારક છે. (પા.૨૦૨)માન એટલે કોને કહેવું ? કે જે માન એક્સેસ હોય, લોકોને તિરસ્કારવાળું હોય, બાકી આ હું સારું કરું, એનો વાંધો છે જ નહીં. પ્રશ્નકર્તા : હું આમ બહુ એનાલીસીસ (પૃથક્કરણ) કરું ત્યારે એમ લાગે કે ઊંડે ઊંડે એવી એક ઇચ્છા રહી હોય કે, આમ માન, વટ પણ એ કેવી જાતનો, કોઈનો લાભ લેવા માટે નહીં, કોઈનું સારું કરવા માટે. દાદાશ્રી : આ જે માન છેને, તે માન તમને આ જગ્યાએ લાવ્યું. નહીં તો આ માન જો ભરેલું ના હોત તો તમે બીજી જગ્યાએ હોત. પ્રશ્નકર્તા : કેમ કે સીમંધર સ્વામીનું મંદિર હોયને, તો મને એમ થાય કે, હું તો આમાં હરીફાઈમાં ઊતરું. દાદાશ્રી : એના જેવી વાત જ ના હોયને આ દુનિયામાં. એ તો બહુ સારામાં સારી વસ્તુ. બાકી માન કોને કહેવાય ? હું તમને કંઈક કહીશ, પણ બીજાને દુઃખ થાય એવું હોય, પછી એવું આપણું વર્તન હોય તેને માન કહેવાય. આ તો લોકોને બહુ આનંદ થાય. સવારમાં ઊઠેને તો જેને ભગવાન ઉપર ભાવ છે, એની પર દાદાનો ભાવ સંપૂર્ણ જ હોય. એટલે આ તો સારી વસ્તુ છે. આવું બને નહીં. પછી એ (મંદિર) બન્યું કે ના બન્યું, એ વાત જુદી છે પણ આ ઊંચો ભાવ આવ્યો બહુ સારો. તમને ખ્યાલમાં આવી ગયું. બધી વાત ? પ્રશ્નકર્તા : હા. એવી ભાવના સતત રહે કે કંઈક કરું, કંઈક કરું. અને ગમે તેટલું કરું તોયે એમ જ લાગે કે હજુ કશું કર્યું નથી ? દાદાશ્રી : હા. એવું લાગ્યા કરે. જાણે ભૂખ્યા ને ભૂખ્યા હોઈએ ! બહુ ઊંચી વસ્તુ છે આ ! કોઈક મહાપુણ્યશાળીને પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ. એ છે પૂર્વે ભરેલા પરમાણુઓપ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ? (પા.૨૦૩)દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાત્તાપ કરવો ને બીજું ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતા. ઈર્ષા એ પૂર્વભવના પરમાણુઓ ભરેલા છે તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાય, તો ઈર્ષા ઊડી જાય. ઈર્ષા થયા પછી પશ્ચાત્તાપ કરવો એ ઉત્તમ છે. શંકામાંથી નિઃશંકતાપ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી ? દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માંગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે. પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને ? દાદાશ્રી : ઓછું થાય. અને ‘આપણને’ ભોગવવું નથી પડતું. ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહીએ, ‘પ્રતિક્રમણ કરો’ એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને ! પછી રાગે પડી જશે. આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીયે ફેરવી શકવાના નથી. તો આપણે શા માટે બે ખોટ ખાવી ? પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે. દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે એવું લાગે છે અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં. પ્રતિક્રમણ કરવાનાં બાકી ના રહ્યાં. એટલે તમારા પર કોઈને શંકા જ ના આવે, નિઃશંક પદ થાય. (પા.૨૦૪)કોઈના માટે સહેજ પણ અવળો-સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો ‘દાદા’ને યાદ કરીને કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, ‘આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.’ જંગલમાં જાય ત્યારે લૌકિકજ્ઞાનના આધારે બહારવટિયા મળશે તો ? એવા વિચાર આવે. અથવા વાઘ મળશે તો શું થશે. એવો વિચાર આવે. તે ઘડીએ પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે, તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે. શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ? માણસ છીએ તે શંકા તો પડે. પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ. જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું. નહીં તો શંકા તમને ખાઈ જશે. પ્રશ્નકર્તા : સંશય એ ગ્રંથિમાં જાય ? દાદાશ્રી : સંશય એટલે શંકા ને ? પ્રશ્નકર્તા : હા. એ દુર્ગુણમાં જાય કે ગ્રંથિમાં જાય ? દાદાશ્રી : ગ્રંથિમાં ને દુર્ગુણમાં કશાયમાં ના જાય. એ તો ભયંકર આત્મઘાત છે. એ અહંકાર છે એક પ્રકારનો. શંકા એટલે સંદેહ કરવો. શંકા કરવી એ સંદેહથી માંડીને શંકા સુધીના બધા લખ્ખણ આત્મઘાતી છે. એમાં એક પણ ફાયદો ના થાય. ભયંકર નુકસાન જ થયા કરે. (પા.૨૦૫)એટલે અમે શંકા કરવાની જ ના પાડીએ છીએ. શંકા કોઈ કરશો નહીં. એ ઊભી થાય, ખરેખર એવું લાગે. થયું હોય તોય તમારે શંકા કરવાથી કંઈ મળશે નહીં. એ એક જાતનો અહંકાર છે. મારી વાત સમજણ પડી ? પ્રશ્નકર્તા : શંકાના ઉપાયમાં પ્રતિક્રમણ કરી લેવાનું ? શંકા આવે કે તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું ? દાદાશ્રી : હા, જેના માટે શંકા આવે તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા : એટલે એ જ ઉપાય છેને એનો ? દાદાશ્રી : હા, એ જ ઉપાય. નહીં તો શંકા તો તમને ખાઈ જશે. પ્રશ્નકર્તા : કોઈપણ શંકા આવે એને ચોખવટ કરી લેવી સારી, તો શંકાનો નિકાલ આવે. દાદાશ્રી : કોઈપણ વસ્તુની શંકા આવતી હોયને, તે આ બધી તપાસ કરી આવવી અને આવીને સૂઈ જવું. અને છેવટે તપાસેય બંધ કરી દેવાની છે. ભયનું મૂળ કારણપ્રશ્નકર્તા : આ જે ભય છેને, ભયસંજ્ઞા એ કઈ જાતનું છે ? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? એ કેવી રીતે ચાર્જ ને ડિસ્ચાર્જ થાય છે ? દાદાશ્રી : ભય તો જેટલો પોતાની જાતને ટેમ્પરરી (વિનાશી) સમજે એટલો વધારે ભય લાગે. પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં. પોતાની જાતને ટેમ્પરરી સમજે એટલે શું ? દાદાશ્રી : ‘હું ચંદુભાઈ જ છું’ એ ટેમ્પરરી અને તેવું પોતાની (પા.૨૦૬)જાતને માને, એટલે ભય લાગ્યા કરે. ‘હું શુદ્ધાત્મા છું, મને કંઈ જ ના થાય, હું તો સનાતન છું,’ તો ભય શેનો લાગે ? પ્રશ્નકર્તા : પછી ના લાગે. દાદાશ્રી : ફોરેનના લોકોને ટેમ્પરરી વધારે લાગે, આપણા લોકોને ટેમ્પરરી ઓછું લાગે. કારણ કે કર્તાભાવ થયો. હું કરું છું ને આ કર્મ મારાં કરેલાં થાય છે. એટલે અહીં જરા ફોરેનના કરતાં ઓછા ભયવાળું. ફોરેનવાળા તો ચકલાંની પેઠે ઊડી જાય. શંકા અને ભયપ્રશ્નકર્તા : આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી : શંકાથી જ ભય ઉત્પન્ન થાયને અને ભયથી શંકા થાય. એ બેઉ કારણ-કાર્ય જેવું છે. શંકા બિલકુલ રાખવી ના જોઈએ. કોઈપણ બાબતમાં શંકા રાખશો નહીં. છોકરો બગડ્યા કરે છે કે છોકરી બગડ્યા કરે છે, એ શંકા રાખશો નહીં. એને માટે પ્રયત્ન કરજો. પ્રશ્નકર્તા : પણ શંકા તો ઘડીયે ઘડીયે થઈ જાય છે. દાદાશ્રી : શંકા એ તો પોતાનો આપઘાત છે. શંકા તો ક્યારેય પણ કરશો નહીં. પ્રશ્નકર્તા : પણ એ શંકા કેમ થઈ જાય છે ? શંકા કરવાનો સવાલ જ નથી. શંકા ક્ષણે ક્ષણે થઈ જાય છે. દાદાશ્રી : એ થઈ જાય માટે આપણે કહેવાનું કે ભઈ, શંકા ન હોય મારી, આ મારી ન હોય, થઈ ગઈ કે તરત કહેવું. શંકા આપણને હોય નહીં. શંકાથી જ આ જગત સડી રહ્યું છે, પડી રહ્યું છે. પોતે મરવાનો છે પણ શંકા કેમ નથી થતી ? નથી મરવાનો ? (પા.૨૦૭)પ્રશ્નકર્તા : એ તો ખબર જ હોય છે કે મરવાનો જ છે. દાદાશ્રી : પણ ત્યાં શંકા કેમ નથી પડતી ? મરી જવાની શંકા પડેને તો કાઢી નાખે એ. શંકા પડે કે તરત કાઢી નાખે. ખૂબ ભય લાગે. એટલે કાઢી નાખવાની હોય. ઊખેડીને ફેંકી દેવાની. ઊગી કે તરત ઊખેડીને ફેંકી દેવાની. બને બળેલી સીંદરી સમહંમેશાં કોઈપણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આપે. તે બળેલી દોરડી આવતે ભવે આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું, ખંખેર્યું કે ઊડી ગઈ. અક્રમમાં ક્રિયા માત્ર મડદાલકરેલી ક્રિયા તો જાય જ નહીં. પણ આ જ્ઞાન લીધા પછી, તમે ચેતન બહાર છૂટું પાડ્યા પછી, એ ક્રિયાઓ મડદાલ ક્રિયાઓ છે, નિશ્ચેતન ક્રિયાઓ છે. એટલે એની જવાબદારી છૂટી જાય છે. આ અક્રમ વિજ્ઞાન છે. કોઈ વિજ્ઞાન એવું ન હોય કે, સંસારમાં સંપૂર્ણ રીતે રહેવા છતાં, સંપૂર્ણ રીતે મોહમાં રહેવા છતાંય મોક્ષે જવાય. એવું વિજ્ઞાન કોઈ હોય નહીં, એવું આ વિજ્ઞાન છે. મોક્ષે જવું એટલે શું ? ક્રમિક, સ્ટેપ બાય સ્ટેપ, જેટલો મોહ ઓછો થયો, એટલાં સ્ટેપ તમે ચઢો. અને તે ક્રમિક માર્ગમાં તો જ્ઞાનીઓનેય ચિંતા હોય. અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય. અહીં તો બહારેય ચિંતા નહીં અને અંદરેય ચિંતા નહીં. ચિંતા વગરની લાઈફ વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોઈ શકે નહીં. આ અક્રમ વિજ્ઞાનના પ્રતાપે છે, હજારો માણસોને !!! (પા.૨૦૮)એ ઘટવા માંડે પછીદાદાશ્રી : હવે પ્રતિક્રમણ કરવાં પડે છે કે ? પ્રશ્નકર્તા : હવે પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને ! દાદાશ્રી : હવે ઓછાં થયાં છે ? પહેલાં જેટલાં નથી ને ? પ્રશ્નકર્તા : હવે ઓછાં થયાં પણ કરવાં પડે. દાદાશ્રી : પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના આ જ સાધન છે મોક્ષે જવાનું. બીજું કોઈ સાધન નહીં. કર્મ તો થયા જ કરવાનાં. ના ઇચ્છા હોય તોય કર્મ તો થયા જ કરવાનાં. પ્રશ્નકર્તા : કર્મ તો આડાં આવીને ગળામાં ભરાય. દાદાશ્રી : હા, ગળામાં ભરાય. કર્મનો નિયમ જ એવો છે. તમને ખબર પડી જાય ને કે આ અતિક્રમણ કર્યું. સમભાવે નિકાલ ના થાય તો અતિક્રમણ થઈ જાય. તું અતિક્રમણ કરું ત્યારે શું કરું છું ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું. દાદાશ્રી : સારું. એમ તો બહુ પાકી છે. જેટલી બહાર છે એટલી મહીં છે બોલો. એટલી પાકી છે કે જરાય કર્મ ના બંધાય એવું કર્યું છે. ત્યારે સારું ને, એટલું તો બહુ સારું. આમાં પાકી હોય તે સારું. સંસારમાં પાકો માણસ પોતાનું નુકસાન કરી રહ્યો છે અને આમાં પાકો હોય તો સારું. ભાંગવી ઈફેક્ટને ઈફેક્ટથીપ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ કર્મના લીધે જ કરીએ છીએ ને ? પ્રતિક્રમણ આપણે કરીએ છીએ એ આપણા હાથમાં નથી. એ તો ઈફેક્ટ (અસર) છે ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ એ ઈફેક્ટ જ છે, પણ ઈફેક્ટને ઈફેક્ટથી ભાંગવાની છે અને એ ચોખ્ખું થઈ જાય, ધોઈ નાખીએ તરત. આપણે (પા.૨૦૯)કહેવું કે, ‘ભઈ ચંદુલાલ, ધોઈ નાખો. આ પેલું શા માટે કર્યું આવું ? અને સામાને દુઃખ નથી થતું એવા કર્મને માટે વાંધો નહીં. ખાઓ-પીઓ બધું-જેટલાં કારેલાં ખાવાં હોય એટલાં ખાવને ! મહીં ગોળ નાખીને પણ કારેલું ખાવ. કારણ કે કડવા રસની શરીરને જરૂર છે. માટે એમને એમ ના ખવાય તો મહીં ગોળ નાખીને ખાવ, પણ ખાવ. ‘એ’ છે પુરુષાર્થકોઈને કિંચિત્માત્ર દુઃખ ન થવું જોઈએ. આ તો અજાણ્યે પાર વગરનાં દુઃખ થાય છે. સામાને દુઃખ ના થાય એવી રીતે તમે કામ લો. એ ક્રમણ કહેવાય. પણ અતિક્રમણ ક્યારે કહેવાય ? તમારે ઊતાવળ હોય ને અહીં ચા પીવા ગયો હોય, પછી એ આવે કે તરત તમે બૂમાબૂમ કરો કે, ‘ક્યાં ગયો હતો ? નાલાયક છે ને આમ તેમ’ કરો તે અતિક્રમણ કર્યું કહેવાય. અને એ સ્વભાવિક તમારાથી થઈ જાય. તેમાં તમારે કંઈ ઇચ્છા નથી હોતી. અતિક્રમણ થવું એ સ્વભાવિક છે, પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એટલે એ જે કર્યું હોય એ ભૂંસાઈ જાય. પ્રતિક્રમણથી પડેલો ડાઘ તરત ભૂંસાઈ જાય. (પા.૨૧૦)[12] છૂટે વ્યસનો, જ્ઞાની રીતેનિકાલ કરો સમભાવથીઘરમાં દાળ જરા વધારે તીખી થયેલી હોય એટલે આપણે બૂમ પાડીએ કે, ‘આ દાળ બગાડી છે ને આમ છે ને તેમ છે’ પછી આપણને ખબર પડે કે, આ તો આપણી ભૂલ થઈ. આ ફાઈલનો સમભાવે નિકાલ ના કર્યો. ફાઈલનો સમભાવે નિકાલ કરવો એટલે શું ? આપણે દાળને ઓછી લઈને, ગમે તેમ કરીને ઉકેલ લાવવાનો, વ્યાવહારિક રીતે. નહીં તો પછી આપણે પ્રતિક્રમણ કરવું પડે. એવો દોષ દેખાય છે ખરોને તરત ? પ્રશ્નકર્તા : તરત ખ્યાલ આવી જાય. ‘એનાથી’ શારીરિક દર્દો પણ જાયદાદાશ્રી : આપણું જ્ઞાન પ્રતિક્રમણ કરવાનું કહે છે. ઓછું ખાધું તેય અતિક્રમણ. કારણ બે વાગે ભૂખ લાગે. અને વધારે ખાધું તેય અતિક્રમણ છે માટે નોર્મલમાં રહે. જેટલાં શરીરનાં દર્દો છે, એ બધાં અતિક્રમણોથી થયાં છે. તે બધાં પ્રતિક્રમણોથી જાય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કેવી રીતે કરાય ? દાદાશ્રી : દર્દનો સ્વભાવ ખોળવો પડે. કોના નિમિત્તે એ ઊભું થયું છે તે ખોળવું પડે. દરેક જોડેના સંબંધોની ઊંડી તપાસ કરવી પડે. જેટલા સંબંધો યાદ આવે, તે જ વધુ પડતા છે. એ જ ફાઈલો છે. જે (પા.૨૧૧)યાદ નથી આવતા તેની કશી ભાંજગડ નથી. પ્રમાણથી વધારે આપે ને જબરજસ્તી કરે તોય દુઃખ છે. તમને વધારે આપે તો શું કરો ? પ્રશ્નકર્તા : આપણે ના જ પાડવી પડે. નહીં તો ખાઈએ તો દુઃખી થઈએ. દાદાશ્રી : હાથ જોડીને જેમ તેમ કરીને પતાવવું પડે. એ જગતમાં બધું એવું છે. નોર્માલિટી આવવી મુશ્કેલ છે. નિયમભંગના પ્રતિક્રમણધ્યેય પ્રમાણે શું ના થયું એ લખી રાખી રાતે પ્રતિક્રમણ કરવું. તોય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : દાદા હજુ, ઘણી વખત સહેજ વધારે ખવાઈ જાય છે પણ એનું પ્રતિક્રમણ થઈ જાય છે. દાદાશ્રી : એનો વાંધો નહીં. પ્રશ્નકર્તા : અમે પ્રતિક્રમણ એવી રીતે કરીએ છીએ કે, ‘હે દાદા ભગવાન ! જ્ઞાનીપુરુષ પાસે મેં જે નિયમ લીધો છે. તેનો ભંગ થયો છે. તે બદલ હું ક્ષમા માગું છું.’ એ પ્રમાણે કરીએ તો ચાલેને ? દાદાશ્રી : એટલે આપણે નિયમને જ વળગી રહ્યા છીએ. અને દેહ છે તે નિયમની બહાર ગયો છે. કારણ કે આપણે સત્સંગ કરાવડાવીએ છીએને, એટલે આપણે નિયમને વળગી રહ્યા છીએને એ નક્કી છે. આપણે આજ્ઞા પાળવી છે. પ્રશ્નકર્તા : હા. પ્રત્યાખ્યાન કરીને પીધી ચાપ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. (પા.૨૧૨)દાદાશ્રી : તે એને ‘તું’ એવું રાખજે, કે આ ખોટી છે, ખરાબ વસ્તુ છે એવું. અને કો’ક કહે કે સીગરેટ કેમ પીવો છો ? તો એનું ઉપરાણું ના લઈશ. ખરાબ છે એમ કહેવું કે ભઈ, મારી નબળાઈ છે એમ કહેવું. તો કો’ક દહાડો છૂટશે. નહીં તો નહીં છોડે એ. છોડવાનો પ્રયત્ન કરું છું ? પ્રશ્નકર્તા : કરું છું પણ નથી છૂટતી. દાદાશ્રી : ના, પણ એવા પ્રયત્ન નહીં કરવાના. આપણે તો એનું ઉપરાણું નહીં લેવાનું. કોઈ કહે, ‘સીગરેટ છોડી દેને.’ ત્યારે કહું કે, ‘ભઈ ના. એને છોડવાની જરૂર નથી’, એવું તેવું તું ઉપરાણું ગમે તે લઈ લઉં. અપમાન થાય ત્યાં ઓગળે એવું હતું, ત્યારે તું એમ કહું કે ના, સીગરેટ પીવી જોઈએ. તો શું થાય ? એ જાય નહીં. અને આને હંમેશાં ખોટી છે એ વસ્તુ, એવું માન્યા કરજે. એટલે એક દહાડો છૂટી જશે. પ્રશ્નકર્તા : આપણે ડિસ્ચાર્જ જે થતો હોય તે જોયા કરીએ અને પ્રતિક્રમણ ના કરીએ તો એ વધે કે ઘટે ? દાદાશ્રી : એ કશું વધે નહીં. પ્રતિક્રમણ ના કરીએ તો એ પરમાણુ છે તે ફરી પાછા આગળ દેખાશે, એ આવતા ભવમાં. પ્રશ્નકર્તા : પણ અત્યારે ભરીએ નહીં, ખાલી જોયા કરતા હોઈએ તો ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) જરૂર નથી. આ તો પ્રતિક્રમણનું મેં શા માટે મૂકેલું છે, નહીં તો અભિપ્રાયથી છૂટશો નહીં. પ્રતિક્રમણ કર્યું એટલે અભિપ્રાયથી સામા થઈ ગયા. એ અભિપ્રાય અમારો નથી હવે. નહીં તો અભિપ્રાય મોળો પણ રહી જશે. પ્રતિક્રમણ કરવાની જરૂર નથી આ વિજ્ઞાનમાં. ફક્ત આ એટલા માટે મૂકેલું, નહીં તો અભિપ્રાય એક રહેશે, ‘કશો વાંધો નહીં’ કહેશે. (પા.૨૧૩)શાસ્ત્રકારોએ વાંધો ઉઠાવ્યો કે પ્રતિક્રમણ આમાં કેમ રાખો છો ? પણ એ એમને ખબર ના પડે કે આ અક્રમ માર્ગ છે. અને લોકોનો અભિપ્રાય એ રહી જશે. એક તો મહીં દારૂ પીધો તે પીધો, પછી પ્રતિક્રમણ ના કરે એટલે એ જ અભિપ્રાય રહ્યો. અમે હઉ પ્રતિક્રમણ કરીએને. અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. પ્રતિક્રમણનો વાંધો નહીં, અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે. એટલે આ સાયંટિફિક રીતે જરૂર નથી પણ અત્યારે તમને ટેકનિકલી જરૂર છે. પ્રશ્નકર્તા : અને એમાં નુકસાનેય શું છે ? પ્રતિક્રમણ કર્યાં હોય તેમાં નુકસાન શું ? દાદાશ્રી : નુકસાનનો સવાલ નહીં. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : એવું નુકસાન શું છે ને નુકસાન શું નથી, એના માટે આ નથી રાખેલું, એક્ઝેક્ટનેસ માટે રાખેલું છે. શું નુકસાન એવું તો બોલાય નહીં. શું નુકસાન ક્યાં બોલાય ? કે આપણા સાધારણ વ્યાપારોમાં બોલાય. પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. એટલે આ ટેકનિકલી છે, સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી પણ ટેકનિકલી જરૂર છે. પ્રશ્નકર્તા : સાયન્ટિફિકલી કેવી રીતે ? દાદાશ્રી : સાયન્ટિફિકલી એનું પછી એ ડિસ્ચાર્જ છે. પછી એને જરૂર જ શી છે ? કારણ કે તમે જુદા છો ને એ જુદા છે. એટલી બધી શક્તિઓ નથી એ લોકોની, પ્રતિક્રમણ ના કરો એટલે પેલો અભિપ્રાય રહી જાય. અને તમે પ્રતિક્રમણ કરો એટલે અભિપ્રાયથી જુદા પડ્યા, એ વાત ચોક્કસ ને ? (પા.૨૧૪)કારણ કે અભિપ્રાય જેટલો રહે, એટલું મન રહી જાય. કારણ કે મન અભિપ્રાયથી બંધાયેલું છે. એટલું આગળપાછળ વિચારવું રહે છતાં રહી જાય છે, તો પછી થોડું બનશેય ખરુંને ! પણ પેલું ફળ નહીં આવે હવે. એ આપણને આજથી જ સમજાય કે ભઈ, જો આ જ આવું છે, તો પેલું આનાં કરતાં... પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થયો કે ‘ચંદુલાલ’ અને ‘ચંદુલાલ’ના પરમાણુ ડિસ્ચાર્જ છે. હવે પ્રતિક્રમણ ના કરે તો એટલા બાકી રહી ગયા ? દાદાશ્રી : એટલું મન આપણને પજવે. દારૂ પીધો હોય તો કેવો લાગે ? પ્રશ્નકર્તા : એટલે કૉઝિઝરૂપે આવતા ભવ માટે બાકી રહે ? દાદાશ્રી : હંઅ. અભિપ્રાયથી મન બંધાય છે અને અભિપ્રાય બાકી રહ્યો એટલે મન એટલું બાકી રહ્યું. પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાન મળતાં પહેલાં જે થયું હોય તે ? દાદાશ્રી : તેનો સવાલ જ નહીં. એ તો ઘણુંખરું આ જ્ઞાનથી જ ઊડી ગયેલું હોય છે. અને થોડુંઘણું હશે તે આવતે ભવે એનો કશો વાંધો નહીં આવે. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી પણ થોડું-ઘણું બાકી રહે ખરું ? દાદાશ્રી : રહે તો ખરું, આપણો ઉકેલ આપણે જ લાવવાનો છે. પ્રતિક્રમણ ના કર્યાં, આળસ કરી તો એટલું બાકી રહ્યું. પુરુષાર્થ તો કરવો જ જોઈએ ને ? પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તે ચાલતું હશે ? ચંદુભાઈના કોઈ કાર્ય જોડે તમારે લેવા દેવા નથી, પણ તમારે ચંદુભાઈનું ધ્યાન રાખવું જોઈએ. શું કરે છે ? કેટલી બીડી પીવે છે ? (પા.૨૧૫)અને ચંદુભાઈ અતિક્રમણ કરે તો કહીએ કે પ્રતિક્રમણ કરો. ક્રમણનો અધિકાર છે, અતિક્રમણનો અધિકાર નથી. અમે શું કહ્યું કે અત્યારે વ્યસની થઈ ગયો છું તેનો મને વાંધો નથી, પણ જે વ્યસન થયું હોય, તેનું ભગવાન પાસે પ્રતિક્રમણ કરજે કે હે ભગવાન ! આ દારૂ ના પીવો જોઈએ છતાં પીઉ છું, તેની માફી માગું છું. આ ફરી ના પીવાય એવી શક્તિ આપજો. એટલું કરજે બાપ. ત્યારે લોકો વાંધો ઉઠાવે છે કે તું દારૂ કેમ પીવે છે ? અલ્યા, તું આને આમ વધારે બગાડું છું. એનું અહિત કરી રહ્યા છો. મેં શું કહ્યું, તું ગમે તેવું મોટું જોખમ કરીને આવ્યો, તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજે. કારણ કે પ્રતિક્રમણનો અર્થ શું થાય ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એટલે મારાથી પ્રકૃતિના કારણે કર્મ તો થઈ જાય છે, પણ એનો મને પસ્તાવો છે, મારે છોડવું છે. એ જાતનું ? દાદાશ્રી : હા. પણ પસ્તાવો થયો. પણ પ્રતિક્રમણનો અર્થ જ શું ? પોતે એ દારૂ પીવો છે એ અભિપ્રાય વિરુદ્ધ ચાલ્યો. અભિપ્રાયથી છૂટી ગયો એનો તો બીજા અવતારમાં દારૂ જ ના હોય. પ્રતિક્રમણ છોડાય નહીં. તે આ બધાં વાક્યો એવાં એવાં લખ્યાં છે કે બધું છોડાવી દે. પ્રશ્નકર્તા : તમે સવારે ‘ચા’ પીતાં કહ્યું કે અમે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી છે. દાદાશ્રી : ઓહોહો ! હા. પ્રશ્નકર્તા : એની જ વાત છે. દાદાશ્રી : એટલે ‘ચા’ તો હું પીતો નથી. છતાં પીવાના સંજોગ બાઝે છે. અને ફરજિયાત ઊભું થાય છે. ત્યારે શું કરવું પડે ? જો કદી પ્રત્યાખ્યાન કર્યા સિવાય, જો પીઉં તો ‘એ’ ચોંટી પડે. એટલે તેલ ચોપડીને અને રંગવાળું પાણી રેડવાનું, પણ તેલ ચોપડીને. હા. પ્રત્યાખ્યાનરૂપી અમે તેલ ચોપડીએ પછી પાણી લીલારંગવાળું રેડે, પણ (પા.૨૧૬)મહીં ચોંટે નહીં. એટલે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી મેં ! આ એટલું સમજવા જેવું છે. પ્રત્યાખ્યાન કરીને કરો આ બધું. સમજ પડીને ? પ્રતિક્રમણ તો જ્યારે અતિક્રમણ થાય ત્યારે કરો. આ ચા પીવી એ અતિક્રમણ ના કહેવાય. ચા ફરજિયાત પીવી પડે. એ અતિક્રમણ ના કહેવાય. એ તો પ્રત્યાખ્યાન ના કરો તો, તેલ ના ચોપડો, તો થોડુંક ચોંટી જાય. હવે તેલ ચોપડીને કરજો ને, બધું. પ્રશ્નકર્તા : જરૂર. દાદાશ્રી : આ મોટર લઈને ફરવા જાવ છો તે તેલ ચોપડીને જવું. આ મારે ફરજિયાત કરવું પડે છે. તે તેલ ચોપડીને કરું. પ્રશ્નકર્તા : એમને ત્યાં બટાકા ને કાંદા ખાવા પડ્યા હતા. દાદાશ્રી : એ તો એનું પ્રતિક્રમણ કરી લઈએ. પ્રતિક્રમણ કરી લઈએ તો ચાલે. સંજોગ અનુસાર ચાલવાનું. શારીરિક વેદનીયમાંપ્રશ્નકર્તા : સામાને દુઃખ થાય ત્યારે તો આપણે પ્રતિક્રમણ કરીએ, પણ જ્યારે પોતે પોતાની જ શારીરિક વેદના ભોગવતો હોય અને દુઃખ થાય તો તેનુંય પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : એને જોયા કરવાનું. તન્મયાકાર થાય તેનેય જોવાનું, ભોગવવાનું, વેદવાનું થાય તેને જોયા કરવાનું. વેદ એટલે જાણવું. અને વેદ એટલે ભોગવવું. તે ભોગવવાથી માંડીને જાણવા સુધીના પદમાં જ્ઞાનીઓ હોય છે. પ્રશ્નકર્તા : બહુ દુખે ત્યારે તો પુદ્ગલ ઠેકડા મારવા મંડે. દાદાશ્રી : હા. તમે ઠેકડા મારતા હો, તે બધાને ખબર પડી જાય. પણ બીજાને દુઃખ ના થાય એ જોવાનું. અને વખતે દુઃખ થાય, દુઃખ પહોંચે એવું ખરાબ બોલી ગયા અને પેલાને દુઃખ થયું તો તમારે ‘ચંદુભાઈ’ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરો. (પા.૨૧૭)પ્રશ્નકર્તા : એ તો એમાં પૂરતું પ્રતિક્રમણ થયું. પણ શરીરની વેદનામાં મનમાં ભાવોનું પરિવર્તન બહુ આવે છે. એ વખતે એમ સમજોને કે, એ આર્તધ્યાન, રૌદ્રધ્યાન જેવું જ પરિવર્તન આવે છે. દાદાશ્રી : આ જ્ઞાન જ એવું છે કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. પણ તે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે તે બાહ્ય વિભાગમાં થાય છે. એટલે તે ખરેખર ચોંટતું નથી. આર્તધ્યાન-રૌદ્રધ્યાન તો કોને કહેવાય ? કે હિંસકભાવ હોય, હિંસકભાવ તો તમારામાં દેખાતો નથી. પ્રશ્નકર્તા : અશાતાવેદનીય કર્મ ઉદય આવ્યા, એ કર્મ ભોગવવાં પડે છે. એ ભોગવતી વખતે, અરેરે ! મરી ગયો, મરી ગયો એમ કરે. મેં કોઈ ખરાબ કામ કર્યું નથી. મને આ કર્મ ઉદયમાં કેમ આવ્યું ? તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિએ કઈ ભાવના ભાવવી જોઈએ ? દાદાશ્રી : આનાથી હું છૂટો છું. એવી ભાવના ભાવે તો હલકું લાગે. અને ‘મને થઈ જાય છે’ કહે તો વધારે લાગે. પ્રશ્નકર્તા : એટલે એ જ્યારે વેદનાથી ઉદ્વેગ ભોગવે છે ત્યારે એ આર્તધ્યાનથી છે કે રૌદ્રધ્યાનથી છે ? દાદાશ્રી : આર્તધ્યાનથી. એમાં ધ્યાનનો સવાલ જ નથી. એ જો ‘જ્ઞાન’માં હોય ને તો આ વેદના ભોગવે છે તે કોણ ભોગવે છે તે આપણે જાણવું જોઈએ અને આપણે કોણ છીએ, એ જાણવું જોઈએ. એટલે આપણે એમ કહેવું કે ‘ભઈ, ચંદુભાઈ તમે જ ભોગવો બા. હવે તમારાં કરેલાં છે તે ભોગવો.’ તેમાં આપણે છૂટા રહીએ તો છૂટાપણાનો લાભ થાય. નહીં તો ‘મને બહુ દુઃખ પડ્યું’ કહીએ તો ખૂબ પડશે જબરજસ્ત, અનેકગણું થઈને પડશે. પ્રશ્નકર્તા : એ વાત આપણે મહાત્માઓની કરી. જેણે દાદાનું જ્ઞાન લીધું છે તેની, એ સિવાયના જે લોકો ભોગવતા હોય એ ભોગવે એમાં એ આર્તધ્યાન થયું કહેવાયને ? દાદાશ્રી : એ આર્તધ્યાન જ થાય, દુઃખમય પરિણામ જ હોય. (પા.૨૧૮)દુઃખમય પરિણામ એટલે આર્તધ્યાન. પ્રશ્નકર્તા : અને એ પછી સામા પર ચીડાયા કરે. તો રૌદ્રધ્યાને ય થાયને ? દાદાશ્રી : તો રૌદ્રધ્યાન. નિર્દોષ જગતમાં દોષિત ના દેખાવો જોઈએ. જગત બિલકુલ નિર્દોષ છે. એટલે જે દેખાય છે તે આપણી દ્રષ્ટિ દોષને લીધે દેખાય છે. પ્રશ્નકર્તા : વેદનીય કર્મ અતિચારથી બંધાય કે અતિક્રમણથી ? દાદાશ્રી : અતિક્રમણથી બંધાય. અમારે અશાતા ઓછી હોય. અમારે જોને, મહિનો એવો આવ્યો, તે દાદાને એક્સિડન્ટના જેવો ટાઈમ થયો. પછી જે આ આવ્યું, જાણે આ દીવો હોલવાઈ જવાનો થાય, એવું થઈ ગયું. પ્રશ્નકર્તા : એવું કંઈ થવાનું નથી, દાદા. દાદાશ્રી : ના, એમ નહીં, ‘હીરાબા’ ગયાં તો, ‘આ’ ના જવાનું થાય ? એ તો વેદનીય કયું આવ્યું ? પ્રશ્નકર્તા : અશાતા વેદનીય. દાદાશ્રી : લોકો સમજે છે કે અમને વેદનીય એ છે, પણ અમને વેદનીય અડે નહીં, તીર્થંકરોને અડે નહીં, અમને હીરાબાની પાછળ ખેદ નથી. અમને અસરેય ના હોય કોઈ, લોકોને એમ લાગે કે, અમને વેદનીય આવ્યું, અશાતા વેદનીય આવ્યું. પણ અમને તો એક મિનિટ, એક સેકન્ડેય અશાતા અડી નથી, આ વીસ વર્ષથી ! અને એ જ વિજ્ઞાન મેં તમને આપ્યું છે. અને તમે કાચા પડો તો તમારું ગયું. સમજણથી કાચા પડાય જ નહીંને, કોઈ દહાડો ? એક મિનિટ નહીં ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે ખરો. (પા.૨૧૯)પ્રશ્નકર્તા : અંબાલાલભાઈને તો અડેને ? ‘દાદા ભગવાન’ને તો વેદનીય કર્મ ના અડે ? દાદાશ્રી : ના, કોઈનેય અડે નહીં એવું આ વિજ્ઞાન છે. અડતું હોય તો ગાંડા જ થઈ જાયને ? આ તો અણસમજણથી દુઃખ છે. સમજણ હોય તો આ ફાઈલનેય ના અડે. કોઈનેય અડે નહીં. જે દુઃખ છે તે અણસમજણનું જ છે. આ જ્ઞાનને જો સમજી લેને, તો દુઃખ જ હોય કેમ કરીને ? અશાતાય ના હોય ને શાતાય ના હોય. (પા.૨૨૦)[13] વિમુક્તિ, આર્ત-રૌદ્રધ્યાન થકીઆર્તધ્યાન એટલે...પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ક્ષણે ક્ષણે થયા જ કરતાં હોય છે. તો આર્તધ્યાન કોને કહેવું ને રૌદ્રધ્યાન કોને કહેવું એ જરા સ્પષ્ટીકરણ કરી આપો. દાદાશ્રી : આર્તધ્યાન છે તે પોતે પોતાને (માટે) જ, કોઈનેય વચ્ચે લાવે નહીં. કોઈના ઉપર ગોળી વાગે નહીં એવી રીતે સાચવીને પોતે પોતાની મેળે દુઃખ વેદ્યા કરે અને કોકના ઉપર ગોળી છોડી દે એ રૌદ્રધ્યાન. આર્તધ્યાન તો પોતાને જ્ઞાન ના હોય અને ‘હું ચંદુલાલ છું’ એમ થઈ જાય, અને મને આમ થાય કે આમ થયું તો શું થઈ જશે ? છોડીઓ તું પૈણાવાનો હતો ? ૨૪ વરસની થાય ત્યારે પૈણાવાની. ૩૦ વરસની થાય ત્યારે, આ પાંચ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે, એ આર્તધ્યાન કર્યું કહેવાય. પોતાને માટે અવળું વિચારવું, અવળું કરવું, પોતાની ગાડી ચાલશે કે નહીં ચાલે ? માંદા થયા ને મરી જવાય તો શું થાય ? એ આર્તધ્યાન કહેવાય. પ્રશ્નકર્તા : અગ્રશોચ, ભવિષ્યની ચિંતા ? દાદાશ્રી : અગ્રશોચ, એ બધું આર્તધ્યાન કહેવાય. એ પણ જ્ઞાન ના હોય ત્યારે આર્તધ્યાન કહેવાય. કાલે શું થશે ? ફલાણો કાગળ (પા.૨૨૧)આવ્યો છે. ઇન્કમટેક્ષવાળો શું કરશે ? ભવિષ્યના વિચાર કરતાં જે ભય લાગે તે વખતે આર્તધ્યાન થયેલું હોય તો જ ભય લાગે. ભવિષ્યના વિચાર કરતાં જો ભય લાગે તો જાણવું કે આર્તધ્યાન થયું છે. આર્તધ્યાનમાં પોતે પોતાની ઉપાધિ કર્યા કરે કે આમ થશે તો શું થશે ? આમ થશે તો શું થશે ? એવો ભડકાટ લાગ્યા કરે. રૌદ્રધ્યાનથી બીજાને અસરરૌદ્રધ્યાન તો આપણે બીજાને માટે કલ્પના કરીએ કે આણે મારું નુકસાન કર્યું. એ બધું રૌદ્રધ્યાન કહેવાય. અને બીજાના નિમિત્તે વિચાર કરે, બીજાને કંઈપણ નુકસાન થાય એવો વિચાર આવ્યો, તો એ રૌદ્રધ્યાન થયું કહેવાય. મનમાં વિચાર આવ્યો કે, કાપડ ખેંચીને આપજો. તેં ખેંચીને આપજો કહ્યું, ત્યારથી જ ઘરાકોના હાથમાં કાપડ ઓછું જશે. એવી કલ્પના કરી અને તેના વધારે પૈસા પોતે પડાવી લેશે, એવી કલ્પના કરી, એ રૌદ્રધ્યાન કહેવાય. બીજાનું નુકસાન કરે એ ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય. પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનમાં આપણા થકી બીજાને દુઃખ થાય, એટલે રૌદ્રધ્યાન થયુંને ? દાદાશ્રી : હા. એ દુઃખ થાય કે ના થાય પણ આપણે એમને કહીએ કે આ બધા નાલાયક છે, લુચ્ચા છે, ચોર છે એ બધું રૌદ્રધ્યાન જ કહેવાય. ખરેખર જગતમાં કોઈ દોષિત છે જ નહીં. દોષિત લાગે છે તે આપણી ગેરસમજણથી લાગે છે. પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન તો મને થાય છે. એ બીજાની ભૂલ હું જોઉં છું. એમાં બીજાને શું દુઃખ થાય ? હું એને દોષિત ગણું તો એને દુઃખ ક્યાં થાય છે ? સામા માણસને તો એને ખબર પડતી નથી તો એ રૌદ્રધ્યાન કહેવાય કે નહીં ? (પા.૨૨૨)દાદાશ્રી : એની અસર પડે, રૌદ્રધ્યાન જ કહેવાય. એને અસર પડે, કેમ પડે નહીં ? એ તો તમને એમ લાગે છે, એને ખબર નથી પડતી. એને અસર તો બધી જગ્યાએ થયા વગર રહે જ નહીં. એને પોતાનેય ખબર ના પડે. આર્ત-રૌદ્રધ્યાનમાંથી ધર્મધ્યાનપ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે, આપણે આર્તધ્યાનમાં ને રૌદ્રધ્યાનમાં ઊંડા ને ઊંડા ઘૂસતા જઈએ છીએ, અને છતાં આપણે જાણતા નથી, તો એ કેમ જાણી શકાય ? દાદાશ્રી : એ તો દુઃખ થાય એટલે આર્તધ્યાન થયું એ જ છે ને ! અને રૌદ્રધ્યાનમાં બળતરાનું દુઃખ થાય, વધારે પડતું દુઃખ થાય. એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન બધું માણસને દુઃખદાયી છે. એ અશાતાવેદનીય જ છે બધી. પ્રશ્નકર્તા : એ પણ ક્ષણે-ક્ષણે થયા કરે છે. એમાંથી મુક્ત થવા માટે શું કરવું ? દાદાશ્રી : એ જોયા કરવું આપણે કે આ ખરેખર એ કંઈ દોષિત છે નહીં, આ તો મારા કર્મના ઉદયે મને દેખાય છે. પણ એ વાત ખરેખર એવું નથી. એટલે એ દોષિત દેખાય તો નિર્દોષ છે. એવું કર્યા કરવું અને પ્રતિક્રમણ કરવાનું. આપણને કોઈ માણસને માટે ખરાબ વિચાર આવ્યા, એટલે આપણે હિસાબ કાઢવો કે ભઈ, આ મારા જ કર્મના ઉદય છે, એમાં આનો શો દોષ બિચારાનો. એ મારા કર્મનો ઉદય છે. એટલે એ દોષિત દેખાતો બંધ થઈ જાય. અને તો એ ધર્મધ્યાન કહેવાય. અને આ રૌદ્રધ્યાન થવાનું હતું, ત્યાં જ ધર્મધ્યાન થયું. અને તે અંદર બહુ આનંદ આપે. મારા જ કર્મના ઉદયે એ દોષિત દેખાય છે. એ તો નિમિત્ત માત્ર છે. અત્યારે સામો ખરેખર દોષિત હોતો જ નથી. તે નિમિત્ત જ હોય છે. (પા.૨૨૩)આપણા જ કષાયો આપણા શત્રુતમારે નિમિત્ત આવે કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : આવે કોઈક વખત. દાદાશ્રી : હા. એ તો નિમિત્ત જ છે આ, ખરેખર નથી. આ ચોર આપણા રૂપિયા ગજવામાંથી કાપી જાય, તે નિમિત્ત છે. ખરેખર ગુનેગાર એ નથી. ખરેખર ગુનેગાર આપણા કષાય છે. પોતાના કષાય જ પોતાના દુશ્મનો છે. બીજું કોઈ બહાર દુશ્મન છે જ નહીં. અને એ કષાય જ એને મારી રહ્યા છે. એને બહારનો કોઈ મારતો નથી. પશ્ચાત્તાપ પરિવર્તાવે ધ્યાનહવે જબરજસ્ત રૌદ્રધ્યાન કર્યું હોય, પણ પ્રતિક્રમણથી તે આર્તધ્યાન થઈ જાય છે. બે જણાએ રૌદ્રધ્યાન એક જ પ્રકારનું કર્યું. બે જણે કહ્યું કે ફલાણાને હું મારી નાખીશ. એવું બે જણે મારવાનો ભાવ કર્યો. તે રૌદ્રધ્યાન કહેવાય. પણ એકને ઘેર જઈને પસ્તાવો થયો કે ‘બળ્યો મેં આવો ભાવ ક્યાં કર્યો.’ એટલે એ આર્તધ્યાનમાં ગયું અને બીજા ભાઈને રૌદ્રધ્યાન રહ્યું. એટલે પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નરકગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્તધ્યાન થાય ને વધુ પસ્તાવો કર કર કર્યા કરે તો ધર્મધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તે જ પણ ફેરફાર થયા કરે છે. રૌદ્રધ્યાન પર પશ્ચાત્તાપનો પૂંઠ દીધો કે ફેરફાર થાય, અને આનંદનો પૂંઠ દીધો કે નહીં, એને મારવો જ જોઈએ. ‘મેં વિચાર કર્યો તે બરોબર હતો’ એવું કહે ત્યારે એ નિગોદ સુધી પહોંચે. ફરી મનુષ્યમાં આવવુંય મુશ્કેલ થઈ જાય ત્યાં સુધી પેસે, એટલે રૌદ્રધ્યાનમાં આનંદ એ નિગોદ સુધી પહોંચી જાય. (પા.૨૨૪)એટલે રૌદ્રધ્યાન કરીશ જ નહીં અને રૌદ્રધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે. આર્તધ્યાન કરીશ જ નહીં અને આર્તધ્યાન થઈ જાય તો પશ્ચાત્તાપ કરજે. આર્તધ્યાન થઈ જાય અને ‘એ’ પશ્ચાત્તાપ કરે તો ભગવાને કહ્યું કે, તારું ધર્મધ્યાન અમે જમે કરીશું. શું ખોટું કહ્યું ભગવાને ? ભગવાન કંઈ ડાહ્યા હશે કે ચક્કર હશે ? પ્રશ્નકર્તા : ભગવાનને ચક્કર કહીને ક્યાં જવું છે ? ભગવાન ડાહ્યા જ છે. પ્રતિક્રમણથી પુદ્ગલ પામે ધર્મધ્યાનદાદાશ્રી : ‘દાદા’ના નામથી પસ્તાવો કરજો. તો ત્યાં આગળ એનું ધર્મધ્યાન થઈ જશે. જેટલું આવડ્યું તેટલું તો હેંડ્યું ! રૌદ્રધ્યાન થાય તોય પસ્તાવો કરજો. અને આર્તધ્યાન થાય તોય પસ્તાવો કરજો. ધર્મધ્યાન તો આવડે એવું નથી આ કાળમાં. માટે આ રૌદ્રધ્યાન અને આર્તધ્યાન પર પસ્તાવો કરીને ધર્મધ્યાન બનાવ્યું એટલું કારખાનું કરી નાખજો. ધર્મધ્યાન માણસને સીધી રીતે નથી આવડે એવું આજ. કારણ કે ભગવાનનાં દર્શન કરે ને, તે ઘડીયે ધ્યાન બહાર જોડામાં હોય. એટલે ભગવાન ખુદ જ કહે છે ને કે મારાં દર્શન કરે છે, તે ઘડીયે જોડાનાં દર્શન જોડે કરે છે. એટલે ફોટો જોડે લે છે. હું શું કરું તે ?! એટલે આ કાળમાં ધર્મધ્યાન થઈ શકતું નથી. એટલે આ દાદા શું કહે છે, જેટલાં આર્તધ્યાન થાય તેનો પસ્તાવો કરો, તો ધર્મધ્યાનનું ફળ મળશે. અને ધર્મધ્યાન વગર આ પુદ્ગલ છૂટે એવું નથી. આ પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં કોઈ દહાડોય ! એટલે આર્તધ્યાન થાય તેનો વાંધો નથી. પણ ધર્મધ્યાનમાં ફેરવી શકાય છે. આપણે કહીએ, ‘હે ચંદુલાલ, શું કરવા તું આર્તધ્યાન કર્યા કરે (પા.૨૨૫)છે ? હવે આર્તધ્યાન કર્યું, તે માટે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો.’ એટલે ધર્મધ્યાન થઈ ગયું. પ્રશ્નકર્તા : ‘આપણે’ પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ? દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ પુદ્ગલનો છુટકારો થવો જોઈશે ને ? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છુટકારો નહીં થાય. એટલે જ્યાં સુધી પુદ્ગલને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છુટકારો નહીં થાય. કારણ કે પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં. માટે પુદ્ગલને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ કરાવ કરવાં. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું. આર્તધ્યાન થવાનું કારણ એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય તો ‘આપણે’ એની પાસે પ્રતિક્રમણ કરાવવું. ન ખસે શુક્લધ્યાન કદીપ્રશ્નકર્તા : શુક્લધ્યાનમાંથી પતન થઈ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં અવાય છે, તેથી ત્યાં પ્રતિક્રમણ એને કરવું પડે છે ? દાદાશ્રી : એ બધી વાત ખરી, પણ વસ્તુસ્થિતિમાં પ્રતિક્રમણ ‘પોતાને’ કરવાનું નથી. શુક્લધ્યાન ખસતું જ નથી. આ તો સંજોગવશાત્. સંજોગોથી કામ લેવાનું છે. ‘પોતે’ પ્રતિક્રમણ કરે ત્યારે શુક્લધ્યાન ઊડી જાયને ? પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જે ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપમાં થઈ જાય તો તેનું ‘ઓન ધી મોમેન્ટ’ (તત્ક્ષણ) પાછું પ્રતિક્રમણ કરી લે. દાદાશ્રી : રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ચોપડે ઉધાર ના થવું જોઈએ. અને તમેય તે પદમાં, શુક્લધ્યાન ને ધર્મધ્યાન પદમાં છો, ફક્ત તમારે પ્રતિક્રમણ કરવું પડે એટલું જ, બીજું કશું નહીં ને વધારે. અમારા (પા.૨૨૬)જેટલા સંસારી લાભો ના પ્રાપ્ત થાય તમને. પણ તમે એવા જ પદમાં બેઠેલા છોને ! રૌદ્રધ્યાન ને એ બધું થઈ જ જાય, સ્વભાવિક રીતે થઈ જાય, પણ એનું પ્રતિક્રમણ તરત હોવું જોઈએ. અહીં આવ્યો તે ફસાયોઆપણે તો કશું કરવાનું નહીંને, તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તમારે ચંદુભાઈને કહેવાનું, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? શું કહેવાનું આપણે ? ‘તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો’ આવું કંઈક કોઈને દાન આપ્યું હોય, તેનું પ્રતિક્રમણ આપણે કરવાની જરૂર નથી. કારણ કે અહીં ધર્મધ્યાન સાથેનું છે આ વિજ્ઞાન. અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. આ વિજ્ઞાન એકલું શુક્લધ્યાન નથી. મોક્ષે સીધો જઈ શકે એમ નથી, એકાવતારી થઈ શકે એમ છે, કો’ક બે અવતારી, કોઈ ત્રણ અવતારી થઈ શકે એમ છે. કોઈ લોભિયા હોય તો પંદર પૂરા કરે. એ કહેશે, કે ભઈ, હવે ફરી આવવાનો નહીં, એના કરતાં અતિક્રમણ કરી લો ને ! એટલે અમારા ભાગીદાર એવા હતા કે, એમને કહેતો હતો કે, તમે પંદર અવતાર પૂરા કરશો ? ત્યારે કહે છે, એવું તમને લાગે છે ? મેં કહ્યું, હા. તમારા લોભ તો આ ફરી અહીં આવવાનું નથી ત્યારે હવે પંદર અવતાર પૂરા કરી જ લો ને ! પણ પંદરથી બહાર ના થાય ને પછી. બહુ લોભિયા હોય તો, પંદરથી બહાર થાય નહીં ને ! એ તો અટકણમાં આવી ગયો હવે. માટે જો હજુ સંસાર ભોગવવાની, ભૌતિક સુખોની ઇચ્છા જ છે, તે થયા કરતી હોય, અને પાંચ-છ હજાર અવતાર ભોગવવા હોય, તો દાદાને ભેગો ના થઈશ. અને ભેગો થયો તો, જ્ઞાન ના લઈશ. નહીં તો પછી તું નક્કી કરીશ કે મારે હવે છૂટવું છે તોય નહીં છૂટાય, મોક્ષે જવું જ પડશે. એવો કોઈ મૂર્ખ હોય નહીં. (પા.૨૨૭)પણ વખતે, હું તો પહેલેથી કહી દઉં, કે ભઈ, ચેતતો રહેજે. પછી તું કહું કે, હવે મને આમાંથી છોડો, આ પંદર ભવમાંથી એ નહીં છૂટાય. કારણ કે, જ્ઞાનીનો સિક્કો છે. કોઈથી ભૂંસી ના શકાય, છેકો ના મારી શકાય. જ્ઞાની એટલે લાયસન્સદાર માણસ કહેવાય. આખા વર્લ્ડનું લાયસન્સ હોય એમની પાસે, જ્યાં દેવલોકો બેસે છે, દેવલોકો સાંભળવા આવે એવું આ વિજ્ઞાન છે. આ પરમહંસની સભા કહેવાય. જ્યાં આત્મા ને પરમાત્મા સિવાય બીજી વાત નથી, સંસારસંબંધી વાત નથી, પણ ધર્મધ્યાન સાથેનું છે. આપણું અક્રમ છે ને ! આત્મજ્ઞાન ત્યાં નહીં આર્ત-રૌદ્રધ્યાનઆર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ તિર્યંચગતિનું ને નર્કગતિનું કારણ છે. પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરવું જ નથી હોતું. છતાં થઈ જાય છે ? દાદાશ્રી : મારું કહેવાનું છે કે, એ થઈ જાય, તેનો વાંધો નથી આપણને, તમે પ્રતિક્રમણ કરો ને ? અમે એનો વાંધો ઊઠાવ્યો જ નથી. કે કેમ તમે આમ કરો છો ? તમે પ્રતિક્રમણ કરો. એમ કહીએ છીએ. અમે કોઈને કાઢવા માંગતા નથી. આપણા અહીં ‘નેગેટિવસેન્સ’ (નકારાત્મક) જ નથી, ‘પોઝિટિવસેન્સ’ (હકારાત્મક) છે. અમે કોઈનું નિકંદન કાઢવા માંગતા નથી. તમે રહો કહીએ અને અમે પ્રતિક્રમણ કરીએ. એટલે એ એની મેળે જતા રહેશે. આપણું જ્ઞાન જ એવું છે કે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય જ નહીં. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થવા જ ના દે એવું છે. અને જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન દેખાય છે, તે આપણું ધ્યાન નથી, પણ ગૂંગળામણ છે ખાલી. ખરેખર એ ના થાય કોઈ દહાડોય ! આત્મજ્ઞાન જો છે તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન નથી અને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, તો ત્યાં આત્મજ્ઞાન નથી. બે ભાષા જુદી જુદી ના હોય. (પા.૨૨૮)દેહમાં ધર્મધ્યાન હોય ને આત્મામાં શુક્લધ્યાન હોય. પણ પેલી ગૂંગળામણ આવે ને મનમાં એમ લાગે કે, આ રૌદ્રધ્યાન ને આર્તધ્યાન થઈ ગયું. બસ એટલા માટે આપણે કહેવાનું કે, અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. આત્મજ્ઞાન છે ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય નહીં. નહીં તો આત્મા પ્રાપ્ત થાય નહીં કોઈ દહાડો ય. હવે તમને જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે તે ખાલી ગૂંગળામણ છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કોને થાય ? કે જે પેલો જીવતો ઈગોઈઝમ હોય તેને થાય. તે જીવતો ઈગોઈઝમ મેં ખલાસ કરી નાખ્યો. હવે મડદાલ ઈગોઈઝમ રહ્યો. તેને કંઈ આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય નહીં. મરેલું કંઈ નવું હાલે-ચાલે નહીં. એટલે વિગતમાં કશું છે નહીં, સમજો બરાબર. હું શું કહું છું ? સમજો તો આમાં કશું જ નથી. આ જ્ઞાન જ એવું આપેલું છે કે, ઈટસેલ્ફ (સ્વયં) બધું કામ કર્યા કરે અને પૂરેપૂરું સમજો. વિગતપૂર્વક સમજો. અને છેવટે ના સમજણ પડે તો પ્રતિક્રમણ કર્યા કરો ને, એટલે જેને સમજણ ના પડે, તેને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે અને સમજે તો તો પોતાને કશું થતું જ નથી, બહાર જ વાગે છે, અને એના મનમાં એમ લાગે છે કે અહીં જ વાગ્યું, ખરેખર વાગે છે બહાર ! પ્રશ્નકર્તા : એટલે આ બધી ભ્રમણા જ છે ? દાદાશ્રી : ના. ભ્રમણા નથી. આ તો બધું ગૂંગળામણ ઊભી થાય ને. કર્મના બહુ ડખા હોય ને, તો એવું થાય. અહીં બહુ ધૂળ ઊડાડે તો શું થાય ? આપણને આગળનું ના દેખાય. પ્રશ્નકર્તા : આવરણો છે ? દાદાશ્રી : આ તો બધાં મોહનીય કર્મો છે, જે ભરેલાં તે બધાં ઊખડે, તેમ તેમ એ નીકળ્યા કરે. આપણે હવે કામ કાઢી લો ! પ્રતિક્રમણ કર્યા કરજો. એ એનો (પા.૨૨૯)ઉપાય અને એ જ એનો ઈલાજ ! તમારે કશું લેવા-દેવા નહીં, એટલે મહાત્માઓને આર્તધ્યાન થાય જ નહીં. આત્માને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. આપણા મહાત્માઓને આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય જ નહીં. કારણ કે એ શુદ્ધાત્મા છે, નામરૂપ નથી પોતે. પ્રશ્નકર્તા : ભૂતકાળમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જે મુંઝાઈ ગયા હોય, અને પૂર્વે જ્યારે એવાં ને એવાં કામ કરી ચૂક્યાં હોય, તો આજે એનાં પરિણામો ઉદયમાં આવે તો શું કરવું ? દાદાશ્રી : એ તો એ જ આવે ને ! એ જ આવવાનાં ને. પણ આજે એને જ્ઞાને કરીને છોડીએ. તે દા’ડે જ્ઞાન નહીં એટલે છોડાય નહીં. હવે આપણે જ્ઞાને કરીને છોડી શકીએ. પ્રતિક્રમણ તેને લીધે કરવાનું. તે દા’ડે પ્રતિક્રમણ કર્યાં નથી. અપ્રતિક્રમણ દોષ લાગેલો છે. જગત આખું આ દોષને લઈને ઊભું રહ્યું છે. જ્યારે પ્રતિક્રમણ થાય છે, ત્યારથી છૂટકારો થવા માંડે છે. ‘જ્ઞાન’ પછી કર્મ ક્યારે બંધાય ?પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી, જાણે અજાણે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય અને તે જ ક્ષણે મનમાં ખૂબ પસ્તાવો થયા પછી પ્રતિક્રમણ કરવામાં આવે, તો જ્ઞાન લીધા પછી મહાત્માઓને કર્મ બંધાય ખરું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો ના બંધાય, પ્રતિક્રમણ કરે છે દરેક વખતે ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરી લઉં છું તરત. દાદાશ્રી : અને તું ‘ચંદુલાલ’ કે ‘શુદ્ધાત્મા’ છે ? પ્રશ્નકર્તા : હું તો શુદ્ધાત્મા છું. દાદાશ્રી : તો તો વાંધો નહીં. પ્રતિક્રમણ કરે એટલે વાંધો નહીં. પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનનું કંઈ નિમિત્ત બન્યું ને પ્રતિક્રમણ ના થયું તો અને એ ગૂંચવાડામાં રહ્યું. તો એ કર્મ બંધાઈ ગયું ? (પા.૨૩૦)દાદાશ્રી : કર્મ તો બંધાય ક્યારે ? કે દર્શન ફરે તો બંધાય. દર્શન ફરે, શ્રદ્ધામાં ડામાડોળ થાય, નહીં તો કર્મ બંધાય નહીં. પ્રતીતિ એની ખસે નહીં, તેને કશું થાય નહીં. પ્રશ્નકર્તા : એટલે ટાઈમ લિમિટ કોઈ નહીં ? કે આટલા ટાઈમમાં કર્મ બંધાઈ જાય ? દાદાશ્રી : કર્મ ક્યારે બંધાય ? કે પ્રતીતિ ડામાડોળ થાય, આમ-તેમ થાય, ખાંડ ને મીઠું મિક્સ કરવાથી શું થાય ? પ્રશ્નકર્તા : ફેરફાર થઈ જાય. દાદાશ્રી : એટલે પછી બધું કર્મ બંધાય, ખાંડ-ખાંડમાં રહેવા દે. મીઠાને-મીઠામાં રહેવા દે. એટલે પ્રતીતિ બગડવી ના જોઈએ. પ્રતીતિ પર ડાઘ ના પડવો જોઈએ. દ્રવ્ય પરિણામ અને ભાવ પરિણામહવે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાયને ? પ્રશ્નકર્તા : હવે થતું નથી. દસ દિવસથી બંધ થઈ ગયું છે. દાદાશ્રી : પછી ક્યારે થશે ? પ્રશ્નકર્તા : બીજાના દોષ જોશે ત્યારે થશે ? દાદાશ્રી : દોષ જુએ તો પ્રતિક્રમણ કરવું. હવે આપણે કર્તા નથીને, એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. અને કોઈના દોષ જોતો હોય એ એનું પહેલાંનું દ્રવ્ય છે, એ ભાવ નથી, ભાવ હોય ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કહેવાય. આ તો દ્રવ્ય છે, એટલે જેવું મહીં ભર્યું હોય એવું બોલે. પ્રશ્નકર્તા : બીજાના દોષ જુએ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય ? દાદાશ્રી : હા. તે બીજાના દોષો જોવાનો, મહીં માલ ભરી લાવ્યો હોય, તો એવું જુએ. તો પણ એ પોતે દોષમાં નથી આવતો. એણે (પા.૨૩૧)પ્રતિક્રમણ કરવું જોઈએ, કે આમ કેમ થાય છે ? એવું ના થવું જોઈએ. બસ એટલું જ. એ તો જેવો માલ ભર્યો હોયને, એવું બધું નીકળે. એને આપણે ભરેલો માલ એવું આપણી સાદી ભાષામાં બોલીએ ને ભગવાને એને દ્રવ્ય કહ્યું. ભરેલો માલ બહાર નીકળે એવું કહીએ, એટલે તરત સમજણ પડી જાય સામાને. હવે એને શાસ્ત્રીય ભાષામાં દ્રવ્ય પરિણામ છે કહેશે. અને ભાવ પરિણામ છે એવું કહેશે. હવે એવું આ બધું ઝીણું આ બધાને શી રીતે આવડે ? ને આ બધાને શીખવાડવા જાય તો ઊલટું બીજું વળી ભૂલી જાય. એના કરતાં આપણી ગામડાની ભાષા સારી, તરત સમજણ પડી જાય. આપને સમજાયુંને ? આ ભરેલો માલ છે, તે હવે ખાલી થાય છે. પ્રશ્નકર્તા : એવું બને છે કે, ધારો કે આપણે કોઈની પાછળ ખરાબ બોલીએ કે આવો છે, તેવો છે, નાલાયક છે અને પછી પોતાની જાતને માનીએ કે, હું બરાબર છું. મારું બધું કરેક્ટ છે. હું જરાયે દોષિત નથી, મારી કોઈ ભૂલ જ નથી, તો એવાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન અંદર ક્ષણે ક્ષણે થયાં જ કરતાં હોય છે. તો એમાં જાગૃતિ કેવી રીતના રાખવી કે જેથી કરીને આનાથી છૂટું રહેવાય ? દાદાશ્રી : એ તો થયા જ કરે. ત્યાર પછી આપણે જાણીએ કે, આ જાગૃતિ રહેતી નથી. તો આખા દહાડામાં જે થઈ ગયું હોય તે સાંજે પછી નક્કી કરવું કે, મારે રાતે નવથી અગિયાર સુધી પ્રતિક્રમણ કરવાં. પ્રશ્નકર્તા : બરાબર છે, પ્રતિક્રમણ એ એનો ઉપાય છે. દાદાશ્રી : હા. આ બધા જે રસ્તામાં, પોળમાં મળ્યા હોય, બીજા મળ્યા હોય, એ બધાના પ્રતિક્રમણ રાતે બેસીને કરો. પ્રશ્નકર્તા : જેટલા જેટલા મળ્યા હોય. દાદાશ્રી : ભેગો થયો કે ના થયો, પણ બધાનાં પ્રતિક્રમણ કરો. કલાક, બે કલાક તે ઘડીયે એની એટલી બધી શક્તિ વધશે કે ન પૂછો વાત !! ને આનંદેય પુષ્કળ થશે. (પા.૨૩૨)પ્રશ્નકર્તા : સમજી ગયો. એટલે જે છેવટે નિવૃત્તિમાંય પ્રતિક્રમણ કરી લેવું. દાદાશ્રી : યાદ કરીને પ્રતિક્રમણ કરો. એનું નામ ધર્મધ્યાનપ્રશ્નકર્તા : આર્તધ્યાનનું પ્રતિક્રમણ કરે તો શેમાં જાય ? દાદાશ્રી : કશાયમાં જાય નહીં, પ્રતિક્રમણ કરી નાખ્યું, એટલે ડાઘ પડ્યો તે ધોવાય. પ્રશ્નકર્તા : અને રૌદ્રધ્યાનનું પ્રતિક્રમણ કરે તો ? દાદાશ્રી : એ તો સામાનું કરવું પડે. પ્રશ્નકર્તા : પણ હવે આ ચોપડીમાં એવું છાપ્યું છે કે ધર્મધ્યાનમાં જાય. દાદાશ્રી : હા. એટલે રૌદ્રધ્યાનનું પ્રતિક્રમણ કરે એટલે ધર્મધ્યાનમાં જ જાય તે. કારણ કે રૌદ્રધ્યાન અટકાવ્યું. પ્રશ્નકર્તા : તો પછી આર્તધ્યાનનું પ્રતિક્રમણ કરે તો શેમાં જાય ? દાદાશ્રી : એવું નહીં, એવું નહીં લખ્યું. ચોપડીમાં જુદું લખ્યું, રૌદ્રધ્યાનને અટકાવ્યું એનું નામ ધર્મધ્યાન. એવું લખ્યું નથી ? પ્રશ્નકર્તા : અને આર્તધ્યાનને ? દાદાશ્રી : રૌદ્રધ્યાન અટકાવે એનું નામ ધર્મધ્યાન અને આર્તધ્યાનને અટકાવે તોય ધર્મધ્યાન. હા. બેઉનું, બન્નેનું. પ્રશ્નકર્તા : અને પશ્ચાત્તાપ કરે તો ? દાદાશ્રી : અને પશ્ચાત્તાપ કરે તો ધોઈ નાખે એનું !! પ્રશ્નકર્તા : આપ ઘણીવાર સત્સંગમાં એવું કહો છો કે આર્તધ્યાન- (પા.૨૩૩)રૌદ્રધ્યાન થવાની જગ્યા હોય તો કંટ્રોલ હોય એ ધર્મધ્યાન. દાદાશ્રી : એ ધર્મધ્યાન કેવી રીતે કંટ્રોલમાં રહે કે, આ મારા જ કર્મનો ઉદય છે. એમાં એ નિમિત્ત છે, એનું એ ધર્મધ્યાન કહેવાય. પ્રશ્નકર્તા : હા. પણ એ કંટ્રોલમાં રહે તો ને ? દાદાશ્રી : હા. ગોળી છૂટી ગઈ તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : રૌદ્રધ્યાનનાં પ્રતિક્રમણથી સીધું ધર્મધ્યાન થાય ? દાદાશ્રી : નહીં, એવું નહીં. એવું છેને, યથાર્થ શબ્દ ઉપર છે આ. પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપ એ બેમાં ફેર. યથાર્થ પ્રતિક્રમણ કરવું એટલે પોતે શુદ્ધભાવે કરવું. આપણે જોઈ લેવું, બસ. પ્રતિક્રમણ વિધિના શબ્દોમાં બીજા કોઈનો હસ્તક્ષેપ નથી, એટલું જોઈ લેવું. એમાં મારો શબ્દ હોય છે કે નહીં ? એટલું જ તમારે જોઈ લેવાનું. એમાં બીજાની ડખલ હોય તો તે જોઈ લેવું. બીજાની ભૂલ જોવાની આપણે જરૂર જ ના હોય. પ્રશ્નકર્તા : ભૂલની વાત નથી, પણ એક્ઝેક્ટ (યથાર્થ) જાણવું તો જોઈએને ? દાદાશ્રી : નહીં, એ બધા શબ્દ એક-એક સાચા હોય ! એમાં ફેરફાર કરવાનો, આમાં છેકો મારવાનો, ભવિષ્યમાં કોઇનેય અધિકાર નથી ! યથાર્થ પ્રતિક્રમણપ્રશ્નકર્તા : છેકો મારવાનું નહીં કહેતો, કારણ કે બે-ત્રણ વાક્યો સાથે આવ્યા ને... દાદાશ્રી : ના, એ તો એવો કોઈ સંજોગવશાત્ એ આખું પુસ્તક લાવ્યો ત્યારે મારાથી કહેવાય કે કેવા સંજોગોમાં, કેવી વાત થઈ હોય... એની આજુબાજુનું કનેક્શન (સાંધો) જોઈએ. તમે અદ્ધર વાક્ય લો ને (પા.૨૩૪)તેનો અર્થ ના થાય બરાબર. પ્રશ્નકર્તા : નહીં, નહીં, આપ્તવાણી ૨માં પાના નંબર ૧૦૯ ઉપર છે કે રૌદ્રધ્યાનમાં પશ્ચાત્તાપ થાય તો તે આર્તધ્યાનમાં જાય અને જો રૌદ્રધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મધ્યાનમાં જાય. દાદાશ્રી : પૂરું વાક્ય જે આખું બોલેલું છે. એટલે આમાં તમારે તો એટલું જ જોવાનું કે બીજાની ડખલ છે કે નહીં. ડખલ હોય તો મને કહેવું. બીજું, આને તોલવા ના જશો. આનો અર્થ આ થાય કે નહીં, એ સંજોગોના અનુસાર હોય. યથાર્થ એટલે જેમ હોવું જોઈએ એવું વાક્ય જ્ઞાની પુરુષ કરી શકે. બીજું કોઈ ના કરી શકે. પ્રશ્નકર્તા : એ યથાર્થનો ફોડ પાડો. દાદાશ્રી : યથાર્થ એટલે જેમ હોવું જોઈએ તેવું સંપૂર્ણ. હવે એવું સમજાય નહીંને ? અમુક, અમુક મોટા માણસ આપણામાં થયેલા હોય, તમે જો સમજતા હો, તો કરી શકો એમ છો. પ્રશ્નકર્તા : અત્યાર સુધી હું એવું સમજતો હતો કે, આપણને આમ કો’કનું ખોટું કરવાનું મનમાં આવેને, તો એ આપણું કામ આપણાથી ના થાય. એને હું ધર્મધ્યાન માનતો હતો. આણે મારું નુકસાન કર્યું. એટલે મને તરત રિએક્શન (પ્રતિક્રિયા) થાય કે, આમનું આમ કરું. તો કહે કે, ભઈ, એ આપણું કામ નહીં. દાદાશ્રી : હા. તે ધર્મધ્યાન કહેવાય. પણ એ તો ધર્મધ્યાન છે એ જ તો જોવા જેવું કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન અટકાવ્યું. એ તો ધર્મધ્યાન રોકડું જ છે. પણ આ યથાર્થ પ્રતિક્રમણ કરવું એ તો બહુ મોટી વાત છે. નહીં તો એ પ્રતિક્રમણ જુદી વાત છે. તમે કહો છો એ પ્રમાણે, પણ યથાર્થ. પ્રશ્નકર્તા : દાદા, કૉમન લેંગ્વેજ (સામાન્ય ભાષા)માં જતું રહ્યું, ચોપડીમાં છપાયું એટલે. (પા.૨૩૫)દાદાશ્રી : હા. પણ સાચો માણસ હોય તેને પહોંચે જ ને ? યથાર્થ કોણ માણસ સમજે ? પ્રશ્નકર્તા : મેં પછી વિચાર કરીને એવો અર્થ કાઢ્યો હતો કે, યથાર્થ પ્રતિક્રમણ એટલે સહેજ પણ કર્તાભાવ ના હોય. દાદાશ્રી : ના, એ બિલકુલ હોય નહીં. કર્તાભાવ તો નથી આ જ્ઞાન લીધા પછી. પણ યથાર્થ એટલે જેમ હોવું ઘટે તેવી રીતે એક્ઝેક્ટલી. યથાર્થનો અર્થ જ એવો થાય. જેમ હોવું ઘટે તેવું. પ્રશ્નકર્તા : જ્ઞાનીઓને પ્રતિક્રમણ કરવાનું હોય નહીંને ? દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાનીઓને હોય. પ્રશ્નકર્તા : ના. પણ યથાર્થ પ્રતિક્રમણ છેને ? દાદાશ્રી : યથાર્થ તો અમારી જોડે પેલા રહે છે, એ કરી શકે બધા. અમુક, અમુક માણસો હજુ આપણા છે જ. બીજાય તે કરી શકે. તમેય કરી શકો એ માણસની જેમ. યથાર્થ તમે સમજતા ન હો તેનો વાંધો નથી. પણ યથાર્થ તમે કરો ખરા એ હું જાણું છું. યથાર્થનો અર્થ જ બહુ ભારે થાય છે. ‘જેમ હોવું જોઈએ તેમ.’ ધ્યાન અંદર ‘શુક્લ’ ને બહાર ‘ધર્મ’આપણું સાયન્સ શું કહેવા માંગે છે, તે હું તમને કહું. અત્યારે ઉદયમાં જે દોષ નીકળતો હોય, કે ઉદયમાં સારો ભાવ નીકળતો હોય. બે જ જાતના ભાવ નીકળવાના ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો એ ઉદયને જુઓ કે, પોતાના દોષ દેખાય, જે દોષવાળો હોય, તેને દોષ દેખાય અને સારાવાળાને સારું દેખાય. પણ આપણે આપણા દોષ જ જોવાના. બીજું કશું જોવાનું નથી. આ પુરુષાર્થથી આવતા ભવમાં ફેર પડે છે. પણ આપણે તો એવું (પા.૨૩૬)કહેવા માગતા જ નથી. આપણે શું કહીએ છીએ. આપણે તો ‘શુદ્ધાત્મા’ થયા ને આવતો ભવ જોઈતો નથી. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ. આ ઉદય જે છે. તે અમે એનો નિકાલ કરી નાખીએ છીએ, જાણીએ છીએ. દોષ થયો એ જાણ્યું, એનું નામ ધર્મધ્યાન. અને મહીં અંદર શુક્લધ્યાન છે. આ બેઉ, ધર્મધ્યાન ને શુક્લધ્યાન હોય ત્યારે એકાવતારી થાય. અને એકલું શુક્લધ્યાન હોય ત્યારે મોક્ષ થાય. એટલે દોષ થાય, તેને તમારે દોષને વળગવાનું નહીં. આ પાછલાં પુસ્તકો વાંચેલાં. તે તમને એવું લાગે કે આ શું થયું ? આ શું થયું ? આપણે સુટેવો ને કુટેવો બન્નેને સેફસાઈડ કર્યું છે. આપણે શુદ્ધાત્મા છીએ ને સ્વરૂપમાં આપણે આવી ગયા છીએ. હવે જે દોષ છે એ આપણને દેખાય છે. એ આપણને દેખાવા માંડે. બધા દોષો ઝીણામાં-ઝીણા દેખાયા કરશે. પણ દોષને જોવાની દ્રષ્ટિ જેમ ખીલશે. તેમ તેમ એ વધારે ને વધારે દેખાતા જશે. હવે પ્રતિક્રમણ ના થાય તોય હું કહુંને વાંધો નથી. પણ ફક્ત એ દોષો જોયા કરો. અને આ વસ્તુ ખોટી છે એવું જાણ્યું. જાણ્યું ત્યારથી જ એ ધર્મધ્યાન કહેવાય. એટલે આ બહારનું ધર્મધ્યાન અને અંદરનું શુક્લધ્યાન આ માર્ગ તદ્દન જુદો છે. ચોખ્ખો માર્ગ છે અને સ્વભાવિક માર્ગ છે. અત્યારે કંઈથી મૂઆ ?હવે રાત્રે સાત-આઠ જણ આવ્યા. અને ચંદુભાઈ છે કે, એમ કરીને બૂમો પાડે, રાતે સાડા અગિયાર વાગ્યા છે ને, તો તમે શું કહો ? તમારા ગામથી આવ્યા હોય ને, તો એમાં એક-બે ઓળખાણવાળા હોય અને બીજા બધા એના ઓળખાણવાળા હોય અને દસ-બાર માણસનું આમ ટોળું હોય અને બૂમ પાડે, તો સાડા અગિયાર વાગે શું કહો એ લોકોને ? બારણું ઊઘાડો કે ના ઊઘાડો ? (પા.૨૩૭)પ્રશ્નકર્તા : હા, ઊઘાડીએ. દાદાશ્રી : અને પછી શું કહો, એ લોકોને ? પાછા જાવ એમ કહો ? પ્રશ્નકર્તા : ના. ના. પાછા જાવ, એમ કેમ કહેવાય ? દાદાશ્રી : ત્યારે શું કહો ? પ્રશ્નકર્તા : અંદર બોલાવીએ આપણે. ‘આવો અંદર.’ દાદાશ્રી : ‘આવો પધારો પધારો.’ આપણા સંસ્કાર છેને ? એટલે આવો પધારો કહીએ, બધાને સોફાસેટ ઉપર બેસાડીએ. સોફા ઉપર છોકરું સૂઈ ગયું હોય તો ઝટ ઝટ ઊઠાડી દઈએ અને બાજુમાં ફેંકી દઈએ. સોફા ઉપર બેસાડીએ. પણ મનમાં એમ થાય કે, ‘અત્યારે ક્યાંથી મૂઆ આવ્યા આ ?’ હવે આ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે. સામા માણસની ઉપર આપણે આ ભાવ બગાડીએ, આર્તધ્યાન તો પોતે પોતાની જ પીડા ભોગવવી. આ તો પારકાની ઉપાધિ પોતે કરીને પારકા ઉપર આ ‘બ્લેમ’ (આરોપ) કર્યો. ‘અત્યારે કંઈથી મૂઆ ?’ હવે તોય પાછા આપણે શું કહીએ ? આપણા સંસ્કાર તો છોડે નહીંને ? ધીમે રહીને કહે, ‘જરાક... જરાક... જરાક...’ અલ્યા પણ શું ? ત્યારે કહે, થોડીક ચા... ત્યારે કહે પેલા એવા હોયને તે કહે. ‘ચંદુભાઈ, અત્યારે ચા રહેવા દોને, અત્યારે ખીચડી-કઢી કરી નાખોને, બહુ થઈ ગયું.’ જો આ તારી બૈરીની ગાડી ચાલી ! રસોડામાં શું થઈ જાય ? હવે અહીં શું કરવાનું છે ? ભગવાનની આજ્ઞા, જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ કે અત્યારે કંઈથી મૂઆ એવો ભાવ આવી જ જાય માણસને. અત્યારે તો આ દુષમકાળનું દબાણ એવું છે, વાતાવરણ એવું છે, એટલે એને આવી જાય. મોટો માણસ હોય તેનેય આવી જાય. સંયમીનેય આવી જાય. પણ સંયમી ત્યાં આગળ ફેરફાર કરે કે આ રહેવાના જ છે. હવે આને શા હારુ તું મહીં આ ચીતરે (પા.૨૩૮)છે ? બહાર સારું કરું છું અને અંદર ઊંધું ચીતરે છે. એટલે આ ગયા અવતારનું ફળ ભોગવીએ છીએ. આપણે આ સારી રીતે બોલાવીએ, કહીએ છીએ અને નવું આવતા અવતારનું બાંધીએ છીએ આપણે અંદરના હિસાબે. અત્યારે કંઈથી મૂઆ એટલે અત્યારના અવળું બાંધીએ છીએ. એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે માફી માંગી લઈને કહેવું, કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, આ વાતાવરણના દબાણને લઈને બોલી ગયો પણ આવી મારી ઇચ્છા નથી. એ ભલે રહે. તેનું તમે ભૂંસી નાખોને, એટલે તમારો પુરુષાર્થ કહેવાય. આવું થાય તો ખરું જ, એ તો મોટામાં મોટા સંયમીઓને થાય. એવો કાળ વિચિત્ર છે આ. પણ તમે જો ભૂંસી નાખો તો તમને એવું ફળ મળશે. અને સ્ત્રીઓ પણ અંદર ભૂંસી નાખે કે, બળ્યું હવે આજે આ માથા પર હશે, તો એ ખાધા વગર રહેવાના નથી. તો પછી આ આવું શા હારુ કરું ? એના કરતાં કહીએ આવો, નિરાંતે જમો. એટલે આપણે આમ ઉપાય કરવો પડે. ઉપાય ના કરીએ અને માથે જે પડ્યા છે તો ચાર દહાડા એ ખસે જ નહીં. પ્રશ્નકર્તા : અમે તો રાતના જમાડીએ જ નહીં, અમે બધા ચોવિહાર કરીએ. દાદાશ્રી : તો તમે શું કહો અહીં. જમવાનું નહીં મળે ? પ્રશ્નકર્તા : ના પાડી દઈએ. દાદાશ્રી : ચા માંગે તો ? પ્રશ્નકર્તા : માંગે તોય ન આપીએ. દાદાશ્રી : એમ ? પછી લોક શું કરે છે ? અમે બહાર જઈને જમાડી આવીએ. (પા.૨૩૯)પ્રશ્નકર્તા : બહાર જઈને જમાડ્યા એ એકનું એક જ થયુંને ? દાદાશ્રી : તો શું કરે ? ભૂખ્યા સુવાડે ? આપણા હિન્દુઓ કોઈને ભૂખ્યા ના સુવાડે. આપણા સંસ્કાર એવા ! એ જે આવ્યા છે એ કર્મના ઉદયથી આવ્યા છે. આપણા કર્મનો ને એના કર્મનો ઉદય ! હવે કર્મના ઉદય જ્યાં સુધી પૂરા ના થાય, ત્યાં સુધી જવાના નથી. હવે બૈરી શું કહે, ચંદુભાઈને ? આ તમારા ઓળખાણવાળા ક્યારે જશે ? ત્યારે એ કહે, ‘મારા શેના ઓળખાણવાળા ?’ એ તો ગમે ત્યાંથી આવ્યા. એટલે પછી ઓળખાણવાળાની વાતો ન કરે. અત્યારે તો લોકો ડેવલપ (વિકસિત) થયેલા છેને ! એટલે બૈરી કહે કે, તમારા ઓળખાણવાળા તો એના પિયરના આવે તો કહે, ‘એ તમારા ઓળખાણવાળા ! એટલે એની વઢવાડ કરે. એટલે લોકો લેટ ગો (જવા દો) કરતા હોય એને. હવે આમાં મોટું મન કરી નાખ્યું છે લોકોએ. કે ભઈ, આવું કશું ડખોડખલ કરવી નહીં. પણ છેવટે આ રહેવાના તો છે જ. એટલે આપણે મનમાં એમ માનવું કે, ભલે કર્મના ઉદય છે, ત્યાં સુધી ભલે રહો. મારા ને એમના કર્મના ઉદય પૂરા થશે તો એની મેળે જ જશે. એમ કહીએ એટલે એવાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ન કરવાં. હવે ભલે રહે. હવે જે વખતે જતા હોયને, જ્યારે ચાર દહાડા પછી જતા હોયને, તો આપણે કહીએ, ના, આજ તો તમારે રહેવું જ પડશે. તોય એ તમારો હાથ છોડીને તરત નાસી જશે. કારણ કે કર્મના ઉદય છે. એ રહેશે જ નહીં. એની પોતાની મરજીથી નહીં રહેતો. કર્મ રાખે છે. અને જો તમે રાખવા માંગશોને છેલ્લે દહાડે, આજ તો જવાનું નથી. તોય ઝાટકો મારીને જતો રહે. એટલે કર્મના આધીન છે માટે તમારે શું કરવું કે, આ તમારા (પા.૨૪૦)આવતા ભવનું ચિતરામણ બગાડશો નહીં. ભાવકર્મથી આવતો ભવ બંધાય છે. માટે આટલું સાચવશો તો બહુ થઈ ગયું. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન સાચવોને તો આવતો ભવ તો સારો આવે, બળ્યો ? મન ના બગડે માટેપ્રશ્નકર્તા : આપ શું સલાહ આપો છો ? અમારે ત્યાં તો એવો રિવાજ છે કે બધા ચોવિહાર કરે તો રાતના આવે તો અમારે જમાડવા કે નહીં ? દાદાશ્રી : એ તો કહીએ કે એમને જમાડો. એ શેઠ તો મારે માથે દોષ નાખશે કે એમની આજ્ઞાથી જમાડીએ છીએ, તો એનોય વાંધો નહીં. દર અસલ તમારો ગુનો નહીં. અમે આજ્ઞા આપીને, એટલે ગુનો અમારો પણ જમાડો. એ કહે કે, મને જમાડો તો ભૂખ્યા ના રાખશો. પ્રશ્નકર્તા : આમાં અતિથિ દેવો ભવ એવું ધર્મમાં આવે છે, એમાં ખરું શું ? દાદાશ્રી : એ એટલા માટે જ અતિથિ દેવો ભવ મૂકેલું. પહેલેથી કે લોકોનાં મન બગડે નહીં, એટલા માટે મૂકેલું. અતિથિ એટલે શું કે, પહેલેથી કાગળ લખ્યા વગર, તિથિ લખ્યા વગર આવે. આપણે જોઈએ ત્યારે ખબર પડે કે, ઓહોહો ! ચંદુ શેઠ આવ્યા અત્યારે ! મહીં થાય કે, આ કંઈથી મૂઆ આવ્યા ? એવો ભાવ ન બગડવા દેવા. ભાવ ન બગડે તો આવતો ભવ સુધરી જાય. ભાવ બગડે તો તરત પ્રતિક્રમણ કરી નાખવું. અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા જેવાં છે જ નહીં. જમે કરીને છૂટી જાવબધું કર્મના ઉદયે છે, એ ગાળ ભાંડે તેય આપણા કર્મના ઉદયે (પા.૨૪૧)છે. ચંદુભાઈને એક માણસ સો માણસોની રૂબરૂમાં ચાર ગાળ ભાંડી ગયો, હવે કર્મના ઉદયે એ ભાંડી ગયો. એટલે આપણે જાણીએ કે, આ મારા કર્મના ઉદયે છે, અને એ નિમિત્ત બન્યો છે. એટલે આપણે મનમાં શું કરવું જોઈએ. એના માટે ભાવ બગાડવો નહીં. પણ એનું સારું થજો. એ કર્મમાંથી મને મુક્ત કર્યો. આ કર્મમાંથી છોડાવ્યો. ચાર ગાળો ખાઈને પણ છૂટા થઈ ગયા ને, એટલે હલકા થઈ ગયા ને. હવે છૂટા થતી વખતે બીજ અવળાં ના પડે એટલું જ જોવાનું. લોકો ચાર ગાળો ખાય છે ખરા, પણ બીજ અવળાં નાખે છે. પછી પાંચ ગાળ એને ભાંડે. અલ્યા, ચાર તો સહન થતી નથી. પણ પાછી પાંચ ધીરી ! આ ચાર જમે કરી દે ને ! તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરી છે શું કરવા ? આવી રીતે ભટક-ભટક કર્યા જ કરે છે. વગર કામના ગુનામાં એ આવી જાય છે. કોઈની માટે ભાવ બગાડશો નહીં અને બગડે તો સુધારી લેજો તરત ને તરત. પણ આમાંથી આપણે કેમ કામ કાઢી લેવું, મોક્ષે જવું હોય તો, એ કળા શીખી લો. એ જ્ઞાનીપુરુષ કળા શીખવાડે કે આવી રીતે નીકળી જજો. એનાથી નહીં નવા ભાવદાદાશ્રી : શું કહે છે ? ‘અત્યારે મૂઆ ક્યાંથી ?’ શું હેલ્પ(મદદ) કરે એને ? પ્રશ્નકર્તા : ના, કશું હેલ્પ ના કરે. ઊલટું હેરાન કરે. દાદાશ્રી : ઊલટો એનો આવતો ભવ બગાડ્યો. પ્રશ્નકર્તા : પણ દાદા, એ જ વખતે પ્રતિક્રમણ ને પસ્તાવો કરે તો ? મહાત્માએ પ્રતિક્રમણ કર્યું, એટલે ભાવ ફેરવ્યો, તો પણ બીજા નવા ભાવ તો રહ્યા જ ને ? ખરાબ ભાવમાંથી સારા ભાવ કર્યા એટલે ભાવકર્મ પાછું એને તો રહેવાનું જ ને ? જ્યાં સુધી કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી ?! (પા.૨૪૨)દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે નહીં. પ્રતિક્રમણ તો પેલું ધૂએ છે. ભઈ, આ અતિક્રમણ કર્યું માટે હું પ્રતિક્રમણ કરું છું અને ફરીથી એવું નહીં કરું. પ્રારબ્ધફળ અને કર્મબંધહું છે તે ચંદુલાલ છું ત્યારે કર્મ બંધાય છે. હવે તમને ‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ બેઠું એટલે છે તે બધાં પ્રારબ્ધકર્મ રહ્યાં હવે, ખાઓ છો, પીઓ છો, બધુંય, રાત્રે સૂઈ જાવ છો. એ બધુંય કરો. પ્રશ્નકર્તા : તો આપે એવું કહેલું કે, દેવતા છે, એ દેવતાને અડીએ તો દઝાવાય તો ખરું ને ? આપણે દેવતાનું જ્ઞાન છે કે, આમાં અહીં દઝાવાય એવું છે, છતાં જો અડી જવાય તો દઝાવાય તો ખરું ને ? તો એ ફળ આપે કે ના આપે ? એ ફળ આપ્યું કહેવાય ને ? દાદાશ્રી : ના, એ તો પ્રારબ્ધ ફળ કહેવાય. આ અજ્ઞાની માણસ હું જ છું, એ માન્યતાથી કર્મ બંધાય છે. એ માન્યતા છૂટી ગઈ એટલે કર્મબંધ છૂટી ગયાં. પ્રશ્નકર્તા : એટલે દાદા, જ્ઞાનથી વાત બરાબર છે, પણ જ્યારે એ કાર્ય કરતો હોય છે, મનમાં ખરાબ વિચાર આવતો હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : આપણે નહીં કરવાનું. ‘એની’ પાસે કરાવડાવાનું. જવાબદારી તો ભૂંસી નાખવી પડે ને ? પ્રતિક્રમણ કરીએ એટલે જવાબદારી ભૂંસી નાખીએ. ચંદુભાઈએ અતિક્રમણ કેમ કર્યું માટે પ્રતિક્રમણ ‘કર’ કહ્યું. એ જવાબદારી આપણે ભૂંસી નાખવી. પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ ના થાય તો જોખમદારી ખરી ? દાદાશ્રી : એટલું બાકી રહ્યું ફરી પ્રતિક્રમણ કરવાનું. એના કરતાં પ્રતિક્રમણ કરી નાખવું ઊલટું સારું ને ? અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર.’ બાકી આ જ્ઞાન મળ્યા પછી પ્રારબ્ધકર્મ એકલું જ ભોગવવાનું રહ્યું. (પા.૨૪૩)પ્રશ્નકર્તા : પ્રારબ્ધકર્મ ભોગવતાં ભોગવતાં અતિક્રમણ થઈ જાય ને પણ... દાદાશ્રી : પછી પ્રતિક્રમણ કરવાં જ પડે. એની પાસે જ કરાવડાવવાનું અને એની પાસે જ ધોવડાવવાનું. પ્રશ્નકર્તા : એ ના ધૂએ તો શું થાય ? દાદાશ્રી : ફરીથી ધોવું પડે. પ્રશ્નકર્તા : ફરી એટલે કેટલા અવતાર થાય ? દાદાશ્રી : ફરી એટલે એક-બે અવતાર વધારે થાય. બધી આપણી જ જોખમદારી છે, બીજો કોઈ બહારનો જોખમદાર નથી. ‘ચંદુભાઈ’એ ખોટું કર્યું એટલે ‘ચંદુભાઈ’ને આપણે કહીએ, કેમ અતિક્રમણ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. આપણે એની પાસે જ ધોવડાવી લેવું. કપડું બગાડ્યું, માટે ધોઈ નાખજે. પ્રશ્નકર્તા : એ મજૂરી પડે એટલે ફરી ના થાય. તો પછી આખો દહાડો ઉપયોગ રહે જ નહીં ને ? દાદાશ્રી : એ જ ઉપયોગ. પ્રશ્નકર્તા : એ કયો ઉપયોગ થયો ? દાદાશ્રી : એ જ શુદ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : પણ આ અતિક્રમણ કર્યું ને ? દાદાશ્રી : હા. પણ પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કે અતિક્રમણ ? દાદાશ્રી : અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. અતિક્રમણ કરવા માટે આપણે એને લેવા-દેવા નહીં. અતિક્રમણ ફક્ત જાણ્યું, અને પ્રતિક્રમણ એ શુદ્ધ ઉપયોગ. (પા.૨૪૪)પ્રશ્નકર્તા : સામાન્ય રીતે એક કલાકની અંદર પાંચ-પચીસ અતિક્રમણ થઈ જાય, તો ? દાદાશ્રી : એ ભેગાં કરીને કરવાં. સામટાં થાય. એ સામટાં પ્રતિક્રમણ કરું છું, કહીએ. પ્રશ્નકર્તા : તો કેવી રીતે કરવું ? શું કહેવું ? દાદાશ્રી : આ બધાં બહુ થયાં એટલે આ બધાનાં સામટા પ્રતિક્રમણ કરું છું. વિષય બોલવા કે આ વિષય પર, આ બોલવા અને સામટા પ્રતિક્રમણ કરું છું. એટલે ઉકેલ આવી ગયો, અને છતાં બાકી રહ્યું તો એ ધોઈ નાખીશું. આગળ ધોવાશે. પણ એની પર બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય રહી જાય. ગુંચવાડામાં પડવાની જરૂર નથી. (પા.૨૪૫)[14] કાઢે કષાયની કોટડીમાંથી...દ્વેષ થયો ત્યાં પ્રતિક્રમણઆ તો જંજાળ છે બધી. તને એમના માટે જેટલા વિચાર આવે, એટલાં પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો’ક વિચાર આવે, તેનાં પ્રતિક્રમણ કર કર કરવાં બસ. એ ભૂંસી નાખવાં તરત. પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એનાં પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ? દાદાશ્રી : ના. મનથી જ, મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તોય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ. હલકી નાતોમાં મારંમાર કરે. અને આપણામાં શબ્દ મારે. નહીં તો મનથી મારે, શબ્દ મારે કે ન મારે ? પ્રશ્નકર્તા : મારે. દાદાશ્રી : આ બેનો તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી એવો ઘા વાગ્યો છે મને. એવા શબ્દો બોલે ! અને મનથી મારે તે ય એના ઘરનાં હોય. પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને ? (પા.૨૪૬)દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય તો મનથી મારે. વહુથીયે, ધણી સામો થઈ જતો હોય તો એ મનથી મારે. મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ, લાગ ખોળે ! પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેથી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે, કરતી હોય તો એના રિએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ? દાદાશ્રી : જીભથી બોલે તેનો ? જીભથી એની જોડે ઝઘડો કર્યો તે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : જીભથી કરેને, તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે. અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું એટલે કૉઝિઝ કહેવાય. એટલે કૉઝિઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું. રાગ સામે પ્રતિક્રમણપ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધીનાં પ્રતિક્રમણ કરીએ છીએ, તે કોઈની સાથે કંઈ ગુસ્સો કર્યો, દ્વેષ થયો એટલે દ્વેષનાં પ્રતિક્રમણ કર્યાં. તો રાગનાં પણ આપણે પ્રતિક્રમણ કરવાં કે કેમ ? દાદાશ્રી : એ તો પછી પ્રતિક્રમણ કરવાનાં ના હોય. આ રાગ થાય છે, એ આપણે બંધ કરવાની જરૂર છે. બસ એટલું જ. પ્રશ્નકર્તા : એ કેવી રીતે બંધ કરવું ? (પા.૨૪૭)દાદાશ્રી : મારે વીતરાગ થવું છે માટે રાગ બંધ કરી દેવાનો. મારે જે સ્ટેશન પર પહોંચવું છે. જલદી, એટલે ત્યાં આગળ બેઠા હોય ત્યાંથી ઊઠવાનું એવું જ હોય ને ? એ રીતે બંધ કરી દેવાનાં. કારણ કે એ રાગ-દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, જ્ઞાન લીધા પછી. અને જો સામા પર દ્વેષ થાય તો એને દુઃખ થાય, ઈફેક્ટ (અસર) આવે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો દ્વેષ ધોવાઈ જાય અને રાગ તો કોઈને કશું થવાનું નહીં. અને ડિસ્ચાર્જ છે એટલે એ તો ઊડી જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તોય ઊડી જવાનું છે, એટલે પ્રતિક્રમણ ના થાય તોય કશું ના થાય. જેમ આપણે વ્યાપાર કરતા હોઇએ, આપણે બીજાં લોકો પાસે દસ લાખ રૂપિયા માંગતા હોઈએ અને લોકો પાંચ લાખ રૂપિયા આપણી પાસે માંગતા હોય, તો લોકોને એમ લાગે કે આમને ત્યાંથી લઇ આવો. હવે એ તો રાતે બે વાગે ઊઘરાણીમાં આવે. હવે આપણે તો મોક્ષે જવું છે, એટલે એને આપી દેવાના. અને આપણા છે તે પેલા ના આવે તો આપણે માંડવાળ કરી શકીએ. એવી રીતે આ રાગ ને દ્વેષનું કરવાનું. પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગનો વાંધો નથી, દ્વેષનો વાંધો છે. પણ રાગથી આત્માના પ્રોગ્રેસ (પ્રગતિ)માં અંતરાય આવે ? દાદાશ્રી : એ તો જે રાગ ભરેલો છે એ આવ્યા વગર રહે નહીં ને, અને રાગ આપણો વધવાનો નથી, એ ડિસ્ચાર્જ છે. એ આપણને હરકતકર્તા નથી. એ ભરેલો છે માલ, એ આવ્યા વગર રહે નહીં ને ? આપણે રાગ કરતા નથી, આ તો ભરેલો માલ છે. એ રાગ થાય છે. એટલે આપણે એની જોડે મીઠાશથી બોલીએ એટલું જ ! એ બધું ય ડિસ્ચાર્જ છે. અવરોધ તો કરવાનો જ હતો પણ એ ડિસ્ચાર્જ થયું એટલે આજ્ઞા પાળવી જોઈએ ને ! એટલે તમે જો આજ્ઞા પાળોને તો નિરંતર આત્મામાં જ છો. તમે નોકરી કરતા હો કે ગમે તે પણ આજ્ઞા પાળો ને તો નિરંતર આત્મામાં જ છો. (પા.૨૪૮)પ્રશ્નકર્તા : રાગ હોય ત્યાં આગળ કેવી રીતે આજ્ઞામાં રહેવાય ? દાદાશ્રી : એ રાગ ને જે દ્વેષ છે બેઉ, એ કોને કહેવાય છે ? કૉઝિઝ રાગને રાગ કહેવાય છે. ઇફેક્ટિવ રાગને રાગ નથી કહેવાતો. તે આ અત્યારે જે રાગ છેને, એ કૉઝિઝ રાગ નથી. ઇફેક્ટિવ છે. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. અને શુદ્ધાત્માને રાગ-દ્વેષ હોય નહીં અને ઇફેક્ટ છે તે ચંદુલાલની છે આ. ઇફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો આપણે ‘ચંદુલાલ’ને એમ કહેવું પડે કે, ખરાબ થાય એમાં આને ‘એટેક’ કેમ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો. અને રાગને માટે કશુંય નહીં. રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે. સ્વમાન છૂટતાં જ મોક્ષપ્રશ્નકર્તા : આપણું સ્વમાન ઘવાય નહીં અને છતાં પ્રતિક્રમણ થાય એવો કોઈ રસ્તો ખરો ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો થાય. પ્રતિક્રમણ ને સ્વમાનને ક્યાં વાંધો છે ? તેમાં સ્વમાન ક્યાં ઘવાય છે ? ભગવાનની પાસે સ્વમાન હોય નહીંને ? સ્વમાન તો લોક પાસે હોય. ભગવાન પાસે તો આપણે દીનતા દેખાડવામાં કોઈ વાંધો નથી. બીજાની પાસે દીન ન થવું જોઈએ. સ્વમાનનો અર્થ શું કે બીજાની પાસે દીન ન થાવ. અને સ્વમાન જેનું છૂટ્યું એ મોક્ષનો અધિકારી થઈ ગયો. આપણા અભિમાનની સામા પર અસરોપ્રશ્નકર્તા : અમારા એ અભિમાનથી કોઈને તકલીફ ના થાય અને સંતાપ ના થાય, એને બદલે સામાને સુખ થાય, એને માટે અમારે શું કરવાનું ? દાદાશ્રી : આટલો ભાવ જ કરવાનો. બીજું કશું કરવાનું નહીં. (પા.૨૪૯)‘આપણા અભિમાનથી કોઈને દુઃખ ન હો ને સુખ થાવ.’ એવો ભાવ કરવાનો. પછી દુઃખ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનાં ને આગળ હેંડવા માંડવાનું. ત્યારે શું કરે તે ? કંઈ આખી રાત ત્યાં આપણે બેસી રહેવું ? બેસી રહેવાય એવું નથી આ પાછું. આપણે બેસી રહેવું હોય તોય બેસાય એવું નથી, તો શું કરવાનું ? છતાં આ લોકોને દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ. પ્રશ્નકર્તા : એ હિસાબે તો આખો સંસાર અહંકારનું પરિણામ જ છે. ‘હું ચંદુભાઈ છું’ એનું પરિણામ જ આખો સંસારને ? દાદાશ્રી : પણ હવે એ અહંકાર આ ‘જ્ઞાન’ પછી તમને ગયો. ફરી અહંકાર રહેતો હોય તો પરિણામ ઊભાં થયા કરેને ! આ ‘જ્ઞાન’ પછી તો નવાં પરિણામ ઊભાં થાય નહીંને ! અને જૂનાં પરિણામ ઊડ્યા જ કરે. જૂનાં એકલાં જ ઊડી જવાનાં. એટલે ઉકેલ આવી ગયો. એ ટાંકી નવી ભરાતી નથી. કોઈની ટાંકી પચાસ ગેલનની હોય ને કોઈની પચ્ચીસ લાખ ગેલનની હોય. મોટી ટાંકી હોય ત્યારે વાર લાગે. પણ ખાલી થવા માંડ્યું એને શું ? પ્રશ્નકર્તા : પણ ટાંકી ખાલી થતાં થતાં તો પેલા ફ્લડ (પૂર)ની માફક કોઈને ગબડાવી દે. કોઈને અથડાય ને કોઈને મારી દેને, પાછું. દાદાશ્રી : હા. એ તો બધું જે મારે છેને, તે તો એનાં પરિણામ છે ને ! એમાં આપણને શું લેવાદેવા ? પણ કોઈને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું. ક્રોધનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : મને ક્રોધ આવે છે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? દાદાશ્રી : આ જ્ઞાન પછી તમને ક્રોધ થાય જ નહીં. પરવસ્તુમાં તાંતો રહે એને આપણે ક્રોધ કહીએ છીએ. આ જ્ઞાન પછી હવે તમને તાંતો રહે નહીં. હવે ઉગ્રતા રહી. એ પરમાણુના ગુણ રહ્યા. (પા.૨૫૦)આ જ્ઞાન લીધા પછી ક્રોધ-માન-માયા-લોભ બધુંય જતું રહે છે. આમને જો ક્રોધ થયો હોય ને, તો કોઈ બીજો એક માણસ કહેશે. ‘ના.’ આ ગુસ્સે થતા’તા. મેં કહ્યું ગુસ્સો ને ક્રોધ બે જુદી વસ્તુ છે. ગુસ્સો એ પૌદ્ગલિક વસ્તુ છે. ક્રોધ એ પુદ્ગલ ને આત્માની તન્મયાકાર વસ્તુ છે. હવે એ ગુસ્સો થાય ને, એ ગુસ્સે થાય તો ય ક્રોધ કેમ ના કહેવાય ? કારણ કે ક્રોધ હંમેશાંય હિંસકભાવ એની પાછળ હોય, ત્યારે આમને હિંસકભાવ ના હોય. આમને મહીં પાછળ પ્રતિક્રમણ કરતાં હોય જોડે, જોડે. એક બાજુ ક્રોધ થતો હોય ને, એક બાજુ પ્રતિક્રમણ કરતાં હોય, એક બાજુ આ થયાનાં પ્રતિક્રમણ કરતા હોય. મહીં કરો છો કે નહીં ? નિરંતર પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કરે છે, માટે હિંસકભાવ ત્યાં નથી. અને તાંતો ના હોય. તાંતો એટલે શું ? રાતે કંઈ ઝઘડો થયો હોયને તે સવારમાં પ્યાલા ખખડે ! આ જગતના લોકોને સજીવ ક્રોધ છે ને તમને નિર્જીવ ક્રોધ છે. પણ નિર્જીવ ક્રોધ કોને નિમિત્તે થાય છે. એને બિચારાને થોડુંક તો નુકસાન થાય ને ? ફેર, ક્રોધ અને ગુસ્સામાંતાંતો અને હિંસકભાવ આ બે હોય તો એ ક્રોધ કહેવાય, તો માન કહેવાય, કષાય કહેવાય, એ તીર્થંકર ભગવાને કહેલી વાત છે. છતાંય પણ જો ગુસ્સો થવા માંડે, કો’કને બહુ દુઃખ થાય એવું બોલાઇ ગયેલું હોય, તો આપણે ચંદુભાઈને કહેવું કે, ‘ચંદુભાઈ, ચુમ્મોત્તેર વર્ષ થયાં. જરા પાંસરા રહો ને ! અને પ્રતિક્રમણ કરો, પશ્ચાત્તાપ કરો. શા માટે આવું કર્યું ?’ કહેવાય કે ના કહેવાય ? પ્રશ્નકર્તા : કહેવાય, કહેવું જ જોઈએ. દાદાશ્રી : આમ ભલે ગવર્મેન્ટ (સરકાર)ના મોટા ઑફિસર (સાહેબ) હોય, ત્યાં એમની શરમ નહીં રાખવી જોઈએ. આપણે કહેવું (પા.૨૫૧)જ જોઈએ કે આ ચુમ્મોત્તેર વર્ષ થયાં, હવે તો જરા ધીમા પડો. એટલે આવું થયું હોય તો, ક્ષમાપના માંગી લેવી. કોઈને વધારે પડતું દુઃખ થયું હોય તો, ક્રમણનો વાંધો નથી. અતિક્રમણનો વાંધો છે. એટલે અતિક્રમણ થાય તેનો સરકારેય ગુનો ગણે છે. આ બધા બોલે એનો વાંધો નથી. નવી જ જાતનું, તૃતીયમ બોલે, અને આ બધાના મનમાં એમ થાય કે, અરેરે, આવું કેવું બોલે છે ! એ અતિક્રમણ કહેવાય. જેની દાનત ચોર હોય તે અતિક્રમણ કહેવાય. ઇરાદો ખરાબ હોય તે અતિક્રમણ કહેવાય. તાંતો જતો રહે એટલે જાણવું કે આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યું નથી હવે. તમે શુદ્ધ જ થઈ ગયા હવે. તમે જ્ઞાતા-દ્રષ્ટા પરમાનંદી. ‘ચંદુભાઈ’ શું કરે છે, એને જોયા કરવું. ચંદુભાઈનું ચલાવશે કોણ ? વ્યવસ્થિત નામની શક્તિ. અને બહુ સારું ચાલશે. ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય, ભલે ક્રોધ ના થયો, પણ દુઃખદાયી થઈ પડ્યો તો આ તો પોતે શુદ્ધાત્મા છું એમ માને છે પણ જેણે અતિક્રમણ કર્યું છે, તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ - તે ચંદુભાઈને તમારે કહેવું પડે કે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેણે અતિક્રમણ કર્યું, તેની પાસે પ્રતિક્રમણ કરાવો, તમારા પડોશી પાસે. હવે ક્રોધ-માન-માયા-લોભ થવાનાં નહીં, પણ છોકરી જોડે એકદમ બહુ આકરા થઈ ગયા હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે, ‘આટલા બધા આકરા શું કરવા થાવ છો ? બેબીને કેટલું ખરાબ લાગે !’ અંદરખાને માફી માગી લો. બેબીને મોઢે કહેવાનું નહીં પણ અંદરખાને માફી માંગી લો. ફરી નહીં કરવું આવું. અને નહીં તો પછી માફી માંગવાની હોતી નથી. આપણે જો કશી કચકચ કે દુઃખ થાય એવું ના કર્યુ હોય તો. પ્રશ્નકર્તા : કષાયોના તાંતા પછી પ્રતિક્રમણ નથી થતું. (પા.૨૫૨)દાદાશ્રી : ઉદ્વેગમાં પ્રતિક્રમણ બહુ મોડું થાય, ને તાંતામાં થોડીવાર લાગે. ઉદ્વેગ એટલે બોમ્બાર્ડીંગ કરે એના જેવું છે. ને તાંતો એટલે ટીયરગેસ છોડીને ગૂંગળાવે તેના જેવું. પ્રકૃતિને જોવી એ પુરુષાર્થપ્રશ્નકર્તા : એ બરોબર છે. ક્રોધ આવે તો તે ઘડીએ અંદર ભાવમાં થાય કે, આ ખોટું છે. તારે ક્રોધ ના કરવો જોઈએ. દાદાશ્રી : આપણે છે તે ચંદુભાઈને કહેવું કે ભઈ, અતિક્રમણ કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : પેલો ક્રોધ આવે તો આ બાજુ અંદર પેલું ઊભું થાય કે, આ ચંદુ શા માટે કરે છે ? આવું શું કામ કરે છે ? આ ખોટું છે. પણ કો’ક દહાડો એ ક્રોધ આપણને પાડી નહીં નાખે ને ? તો શું કરવું ? દાદાશ્રી : આપણને કોઈ પાડી નહીં નાખે. એ બધાં મડદાં છે. જીવતાને શી રીતે પાડે ? પુદ્ગલમાત્ર મડદાલ છે. કોઈ નામ ના દે. ‘હું તો દાદાનો, મારી પાસે ક્યાં આવો છો ? શરમ નથી આવતી. દાદા, દાદા, દાદા’ કહીએ. પ્રશ્નકર્તા : એટલે એમ થાય કે, ક્રોધ પાછો પરિભ્રમણમાં નાખી દે, નવા બંધ પાડે ? દાદાશ્રી : એ શું નાખતો’તો ? એ (ક્રોધ) બિચારા ન્યૂટ્રલ, નપુંસક જાતના લોક ! એ તો જે ક્રોધના દબાયેલા છે એને માટે. આપણે દબાયેલા નથી. અને પ્રતિક્રમણ ના થતું હોય તેને એમ કહી શકો છો કે ભઈ, પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : ક્રોધની શરૂઆત થાય પછી પ્રતિક્રમણની શરૂઆત થાય ? (પા.૨૫૩)દાદાશ્રી : શરૂઆત થાય, બેઉ સાથે થાય. પ્રશ્નકર્તા : ક્રોધ ચાલતો હોય, પાછું પ્રતિક્રમણ થાય. બેઉ ભેગું. મારામારી કરે બેઉ, અતિક્રમણ અને પ્રતિક્રમણ સામાસામી. દાદાશ્રી : એટલે આ બધું છેદ ઊડી જાય હવે. હિસાબ ચોખ્ખો થઈ રહ્યો છે. આ પ્રકૃતિ છે અને તમે પુરુષ છો, પુરુષ એ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માને કશું અડે નહીં. શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. પ્રકૃતિને જોયા કરવી એ પુરુષાર્થ ! હવે તમે પુરુષ થયા અને આ થઈ પ્રકૃતિ. પ્રકૃતિ શું કરે છે એ જોયા કરવાની. ચંદુભાઈ ખરાબ કરતા હોય કે સારું કરતા હોય, તે તમારે લેવાદેવા નહીં. તમે છૂટ્ટા, જોનારો છૂટ્ટો. આ જેમ મોટી હોળી જબરદસ્ત બળતી હોય, પણ જોનાર હોય ને. એક મકાન પોતાનું હોય અને હોળીની પેઠે સળગતું હોય પણ જોનાર હોય તેને દઝાય નહીં. અને મારું સળગ્યું કે તરત દઝાયો. પ્રશ્નકર્તા : જોનારને ‘મારું’ હોય નહીં. દાદાશ્રી : જોનારને ‘મારું’ હોય નહીં, પ્રેક્ષક કહેવાય. આપણને ‘મારું’ હોતું નથી. ‘મારું’ ઊડાડી મેલ્યું છે. ‘મારું’ તમે ‘મને’ અર્પણ કરી ગયા છે. જોયા કરો એટલે પ્રકૃતિ ચાલવા જ માંડે, એટલાં કર્મ ઊડી ગયાં. ગુનો પણ મડદાલપ્રશ્નકર્તા : અતિક્રમણથી જે ઉશ્કેરાટ હોય ને એ પ્રતિક્રમણથી ટાઢો પડી જાય છે ? દાદાશ્રી : હા, ટાઢો પડી જાય. પ્રતિક્રમણ તો ‘ચીકણી ફાઈલ’ હોય તેમાં તો પાંચ-પાંચ હજાર પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ટાઢું પડે. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તોયે આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએ ને તો એટલો ડાઘ આપણને રહ્યા કરે. (પા.૨૫૪)પ્રતિક્રમણ કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : કોઈની જોડે ક્રોધ થઈ ગયા પછી ખ્યાલમાં આવે અને એની આપણે માફી માગી લઈએ, તેની તે જ મિનિટે તો એ શું કહેવાય ? દાદાશ્રી : અત્યારે જ્ઞાન લીધા પછી ક્રોધ થઈ જાય ને અને પછી માફી માંગી લે, તો કશો વાંધો નહીં. થઈ ગયું છૂટું ! અને માફી આમ રૂબરૂ ના મંગાય એવું હોય તો અંદરથી માંગી લે, તો થઈ ગયું. પ્રશ્નકર્તા : રૂબરૂમાં બધાની વચ્ચે ? દાદાશ્રી : વાંધો નહીં, એવું ના માંગે કોઈ અને એમને એમ મહીં કરી લે તોય ચાલે. કારણ કે આ ગુનો જીવતો નથી, આ ‘ડિસ્ચાર્જ’ છે. ‘ડિસ્ચાર્જ’ ગુનો એટલે જીવતો ગુનો ન હોય આ. એટલે એટલું બધું ખરાબ ફળ ના આપે. રોકડાં પરિણામ, દિલથી પ્રતિક્રમણનાંપ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ? દાદાશ્રી : એ બે-ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. ‘હે દાદા ભગવાન ! ભયંકર વાંધો આવ્યો. જબરદસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ? આપની રૂબરૂમાં સામાની માફી માગું છું, ખૂબ જબરદસ્ત માફી માગું છું.’ માફી કોણ માંગે ? તમારે નહીં માંગવાની, ચંદુલાલે માંગવાની. જે અતિક્રમણ કરે તે પ્રતિક્રમણ કરે. તમે અતિક્રમણ નથી કરતા. અતિક્રમણોની વણજાર સામેપ્રશ્નકર્તા : કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ, તો એ (પા.૨૫૫)મનમાં અંતર લાંબું પડ્યા કરે. કોઈ વખત એકાદ-બે પ્રતિક્રમણ થાય, તો અમુકમાં પ્રતિક્રમણ ચાર-પાંચ વાર કે વધારે વાર કર્યા કરવાં પડે. તો એક જ વાર કરે તો આવી જાય બધામાં ? દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગાં થઈ જાયને, તો જાથું કરવું કે આ બધા કર્મોનાં મારાથી પ્રતિક્રમણ થતાં નથી. આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં, કે ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.’ તે પહોંચી ગયું. રૂબરૂમાં માફીપ્રશ્નકર્તા : દાદા, પશ્ચાત્તાપ કે પ્રતિક્રમણ કરીએ તો ઘણીવાર એવું હોય કે કોઈ ભૂલ, કોઈની પર ક્રોધ થઈ ગયો, તો અંદરથી તો બળતરા થાય કે આ ખોટું થઈ ગયું, પણ પેલાની સામે માફી માંગવાની હિંમત ના હોય. દાદાશ્રી : એવી માફી માંગવીય નહીં. નહીં તો એ તો પાછા દુરુપયોગ કરે. ‘હા, હવે ઠેકાણે આવી કે ?’ એવું છે આ. નોબલ (ઉમદા) જાત નથી. આ માફી માંગવા જેવા માણસો ન હોય. મહીં ખરો, ખરાં મહીં. તે હજારોમાં દસેક જણ એવાં હોય કે માફી માગતાં પહેલાં એ નમી જાય વધારે. તમે માગવા આવો તે પહેલાં એ નમી જાય વધારે. બાકી આ તો કહેશે, ‘હા, જો ક્યારનો કહેતો હતો. માનતી નહોતી ને ? હવે ઠેકાણે આવી ને ? એટલે અંદર જ માફી માંગી લેવી, એના શુદ્ધાત્માનું નામ દઈને ! એ આપણે નથી જોવાનુંપ્રશ્નકર્તા : આપણે સામા માણસ પર ક્રોધ કરીએ, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ? દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી. (પા.૨૫૬)આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. સામો મળ્યો તો તે સામાનો હિસાબ હશે તેથી એ મળી ગયો હશે ! આપણી ઇચ્છા નથી છતાંય. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ? પ્રશ્નકર્તા : ક્રોધ થઈ જાય છે. દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો.’ પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે. વ્યવહાર, અંડરહેન્ડ સાથેનોપ્રશ્નકર્તા : હવે નિંદા કરી, ત્યારે ભલે એને જાગૃતિ ન હોય, નિંદા થઇ કે ગુસ્સો આવ્યો. તે વખતે નિંદા કરી કહેવાય ? દાદાશ્રી : તે એને જ કષાય કહે છે, કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે, પણ છતાંય પોતે જાણતો હોય કે, આ ખોટું થઈ રહ્યું છે, કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલેય ખબર ના હોય, એમને એમ જ જતું રહે. પછી થોડીવાર પછી ખબર પડે. એટલે બન્યું તે ઘડીએ ‘જાણતો’ હતો. પ્રશ્નકર્તા : અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, એક વાર, બે વાર, ચાર-પાંચ વાર કહીએ તોય એની એ જ ભૂલ કર્યે રાખે તો પછી ગુસ્સો આવે તો એનું શું કરવાનું ? દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તમને ક્યાં ગુસ્સો આવે છે ? ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું, ‘હવે દાદા મળ્યા છે. જરા ગુસ્સો ઓછો કરો ને.’ પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્પ્રુવ (સુધારો) નથી થતી. તો એને શું કરવું ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો, એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે ! એ કામ બરોબર કરતી નથી. (પા.૨૫૭)દાદાશ્રી : તે તો આપણે ‘ચંદુભાઈને’ કહેવું, એને જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા અમથા નાટકીય ઢબે લઢવું કે ‘આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ?’ એવું બધું કહેવું. પ્રશ્નકર્તા : પણ એને તે વખતે સામે દુઃખ થાય ને, આપે કહ્યું છે ને, દુઃખ નહીં આપવાનું બીજાને ? દાદાશ્રી : દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય એને, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એનો નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતા. દુઃખ તો ક્યારે આવે ? આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને કે એને સીધા કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય. અને પછી આવું કહી અને તરત પાછું ‘ચંદુભાઈ’ને કહેવું કે આને જરા કડક કહ્યું તે દોષ થયો, માટે પ્રતિક્રમણ કરો. એટલે પછી એની મનમાં માફી માંગી લેવી. પણ કહેવું અને પ્રતિક્રમણ કરવું, બેઉ સાથે કરવું, સંસારવ્યવહાર તો ચલાવવો પડે ને ! ડિસ્ચાર્જ દ્વેષ, જ્ઞાન પછીપ્રશ્નકર્તા : કામ કરતો ના હોય ને નોકરને કાઢી મૂકીએ તો તેનો દોષ લાગે ? કે પછી તે વ્યવસ્થિત છે ? દાદાશ્રી : એ દોષ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી, ત્યાં પુદ્ગલની સામસામી મસ્તી છે. રાગ-દ્વેષ છે ત્યાં સંડોવાય છે. જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ રહેતો નથી. ને જો રહેતો હોય તો તેનો ગુનો આપણને લાગે છે. પણ તે ડિસ્ચાર્જ દ્વેષ છે. એટલે લાંબો ગુનો લાગતો નથી. કોઈ પણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય. જ્ઞાન પછી રાગ-દ્વેષ, ના થાય. રાગ-દ્વેષ નથી ત્યાં પુદ્ગલ સામસામી ટકરાય. તેને જુએ, જ્ઞાતા-દ્રષ્ટા તે આત્મા ! તેમાં જો તન્મયાકાર થાય તો માર ખાય. તન્મયાકાર ક્યારે થાય કે એમાં બહુ વણાઈ ગયેલું હોય તો તન્મયાકાર (પા.૨૫૮)થાય, પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહેવું, જેથી ચોખ્ખું થઈ જાય. ગુસ્સાનો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા. એટલી તમારી ફરજ. પ્રશ્નકર્તા : ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ? દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી પરાક્રમ કોને કહેવાય ? દાદાશ્રી : પરાક્રમ તો આ પુરુષાર્થનીય ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય. આ તો લ્હાય બળતી હોય તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું ? એ બધાને જાણે, અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતાં કરતાં બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે એની મેળે. નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય કુદરતી. પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સહુ સહુને ઘેર બધું. અને મહીં ઠંડક છે. હવે મહીં ઠંડક છે ને ? પ્રશ્નકર્તા : બિલકુલ, દાદા. દાદાશ્રી : હા, તો આ બસ. એ જોઈએ આપણે. વિવિધ ગુંઠાણામાં કષાયોની તરતમતાપ્રશ્નકર્તા : ગુણસ્થાનકો સમજાવો. દાદાશ્રી : પહેલા ત્રણ ગુંઠાણા મોક્ષને માટે કામ લાગે નહીં, ત્યાં ચાલશે નહીં. એ તો મંદિરમાં આવ-જાય કરે એટલું જ. ભટક ભટક કરે. મહીં સમકિત થાય, ઉઘાડ થાય ત્યારે ચોથા ગુંઠાણેથી કામ લાગે. સમકિતનો ઉઘાડ થાય પછી. તેથી આ બધા પહેલા ત્રણ ગુંઠાણામાં ભટક-ભટક કર્યા કરે છે. ચોથામાં અજવાળું થાય. એ સમકિત (પા.૨૫૯)થયું ત્યારથી આગળ વધે. પછી ચોથામાંથી પાંચમામાં આવે. વધારે પ્રતિક્રમણ કરતો કરતો છઠ્ઠામાં આવે. બસ એ જ પ્રતિક્રમણ કરતો કરતો આગળ વધે. અનંતાનુબંધી કષાયહવે શાસ્ત્રકારોએ શું લખ્યું ? કે ભઈ, એક માણસ આ બેનની જોડે બે જ વાક્યો એવાં બોલ્યો કે જેથી એ બેનનું મન ભાંગી ગયું. એ ભઈ મન ભાંગી ગયું એવું બોલ્યા, કે આખી જિંદગીભર હવે સંધાય નહીં. આવું મન કાયમનું તૂટી જાય. એને શાસ્ત્રકારોએ શું કહ્યું ? અનંતાનુબંધી ક્રોધ, જે અનંત અવતાર સુધી રખડાવી મારે એવો આ ક્રોધ. બીજા પ્રકારનો ક્રોધ થયો તો વર્ષ દહાડા સુધી બોલે નહીં એ. વર્ષ દહાડો થાય ત્યારે રુઝાય, ક્રોધ ભૂલી જાય ને રુઝાઈ જાય. એટલે વર્ષ દહાડાની મુદતનો, એ કયા પ્રકારનો ક્રોધ ? અપ્રત્યાખ્યાની ક્રોધ, એટલે જેનાં પશ્ચાત્તાપ લીધા નહોતા, પ્રતિક્રમણ કર્યાં નહોતાં, એટલે આ નીકળ્યો, કહે છે. પ્રશ્નકર્તા : એકવાર જે ગુસ્સો થયેલો તે જ ગુસ્સો પાછો નીકળ્યો કહેવાય ? દાદાશ્રી : ના, એમ નહીં. ગુસ્સો થાય પછી પ્રતિક્રમણ ન કરે, તો ફરી એવા ને એવા ફોર્સમાં નીકળે. ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ ન કરે તો વર્ષ દહાડાનું, અને પછી પ્રતિક્રમણ કરે તો પંદર દહાડાનું. પંદર દહાડામાં બેઉ પાછા બોલતા થઈ જાય, ભૂલી જાય બધું. એ કેવું કહે છે. પ્રત્યાખ્યાની ક્રોધ. આખી જિંદગીનું તૂટી જાય એ અનંતાનુબંધી ક્રોધ. આ પથ્થરની ભેખડની વચ્ચે ફાટ થયેલી હોય ફૂટ કે બે ફૂટની, એ ગમે એટલી મહીં વસ્તુઓ પડે, તો પણ મૂળ એ ફાટ છે તે કાયમની રહે. એની આગળ વર્ષ દહાડાનું કયું કહ્યું ? અપ્રત્યાખ્યાની. એમાં (પા.૨૬૦)ખેતરની જમીનમાં માટીમાં ફાટ પડી હોય, એટલે વર્ષે દહાડામાં સંધાઈ જાય. પછી એની આગળનો ક્રોધ - પંદર દહાડાવાળાનો શું છે ? એ પ્રત્યાખ્યાની એમાં રેતીમાં એક લીસોટો પાડ્યો, આજે દરિયાની રેતીમાં લીસોટો પાડીએ તો શું થઈ જાય ? કેટલી વારમાં ભૂંસાઈ જાય ? પ્રશ્નકર્તા : તરત, પવન આવે કે તરત ! દાદાશ્રી : પવન આવે એટલે એક થઈ જાય. એક કલાક-બે કલાકેય લાગે, એ પ્રત્યાખ્યાની ક્રોધ. અને ચોથો પાણીમાં લીસોટો કરીએ ને પાછો સંધાઈ જાય. તે આ પાણીનો લીસોટો કહેવાય. એ સંજ્વલન ક્રોધ. મહાત્માઓ બધાને પાણીના લીસોટા જેવું ના હોય. બધાને પંદર દહાડા પછી સંધાય. કેટલાકને પાણી જેવુંય હોય. બુદ્ધિ કબૂલ કરે એવી વાત કરી છે ને, આ શાસ્ત્રકારોએ ! પ્રશ્નકર્તા : આત્મા કબૂલ કરે એવી વાત છે. દાદાશ્રી : એ આત્મા એટલે કયો ? વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા. એ બુદ્ધિના ખેલ છે. અને આત્મા કયો હોય ? આ બધું વ્યવહાર આત્મા. મૂળ આત્મા તો એનેય જાણે છે, બધું જાણે ! અપ્રત્યાખ્યાનાવરણ કષાયપ્રશ્નકર્તા : એક વખત અનંતાનુબંધી તૂટે, તો પછી એ ઊતરતી કક્ષામાં જાય એટલે એ પછી ધીમે ધીમે ઘટ્યા કરે ? દાદાશ્રી : એ તો વધીય જાય. પણ અપ્રત્યાખ્યાન આવે એટલે કષાય જે થાય છે, તેની પર ક્યારેય પણ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કર્યું નથી. એટલે બધા જે કષાય આવે છે તે, પ્રત્યાખ્યાન નથી કર્યાં માટે આવે છે. એટલે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન શરૂઆત થાય. ત્યાં આગળ પછી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યા કરે, પાંચમા ગુંઠાણામાં, એનું ફળ આવે ત્યાં છઠ્ઠા ગુંઠાણામાં જાય. છઠ્ઠામાં શું થાય ? પ્રત્યાખ્યાનાવરણ કષાય ! (પા.૨૬૧)પ્રત્યાખ્યાનાવરણ કષાયપ્રત્યાખ્યાનાવરણ એટલે શું ? પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યું તોય કષાયો આવે છે. એ તો કેટલાય પડવાળા છે, એ આવે છે. થોડાં પડવાળા જતા રહ્યા, પણ બહુ પડવાળા પ્રત્યાખ્યાન આવરણ. લાખો પ્રતિક્રમણ કરો તોય ના જાય. પ્રશ્નકર્તા : એ કયા દોષો ? દાદાશ્રી : એને પ્રત્યાખ્યાનાવરણ કહ્યા છે. પ્રત્યાખ્યાન કર્યાં છે તોય છે તે જતા નથી. પ્રશ્નકર્તા : તે શું કારણ એટલું બધું ? દાદાશ્રી : બહુ ઊંડા, જાડા ! પાંચ હજાર પડ હોયને ડુંગળીનાં, તે આપણે પડ ઉતાર ઉતાર કરીએ તોય એ દેખાયા કરે ને. એક જાતનું આવરણ છે. બધાનામાં એક-બે હોય, વધારે ના હોય. પ્રશ્નકર્તા : એ વારંવાર આવ્યા કરે ? દાદાશ્રી : હા, વારંવાર તે આવ્યા કરે. પ્રશ્નકર્તા : પણ ગમે ત્યારે તો જાય ને ? દાદાશ્રી : જવા માંડે. હિસાબ થવા માંડે એટલે ઓછું જ થાય, એ જવાને માટે વાંધો નથી. જવાના તો ખરા જ પણ આજે શું વાંધો આવ્યો ? પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, પણ પાછાં આવે છે ? એટલે અપ્રત્યાખ્યાન આવરણ કર્યા પ્રત્યાખ્યાન કરીને. પણ હવે એ પ્રત્યાખ્યાનનું આવરણ થયું તેનું શું થાય ? પ્રશ્નકર્તા : એનુંય આવરણ થાય ? દાદાશ્રી : હા, સાબુથી તો તું અત્યારે મેલ કાઢું, પણ સાબુનો મેલ આવ્યો તેનું ? એટલે પ્રત્યાખ્યાનાવરણ. એટલે પછી આમ કરતાં (પા.૨૬૨)કરતાં વધતું વધતું ચોખ્ખું થાય ને એ પ્રત્યાખ્યાનાવરણ ! પ્રત્યાખ્યાન કર્યાં હોય તોય દોષ થાય તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય. કારણ કે જાથું પ્રતિક્રમણ કરેલુંને, તેથી. સંજ્વલન કષાયનિરંતર પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોય તેને પ્રત્યાખ્યાનાવરણ કહેવાય. એ છઠ્ઠું ગુંઠાણું. પહેલાંનાં અપ્રત્યાખ્યાનનું અત્યારે પ્રત્યાખ્યાન કરે. છઠ્ઠું નિશ્ચયનું ને વ્યવહારનું ગુંઠાણું બાપજીનું ક્યારે કહેવાય ? ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોય. પહેલાંનાં પ્રત્યાખ્યાનનું અત્યારે ઉદય આવ્યો હોય તે ત્યાગ વર્તે. એટલે છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય ? કષાય કાર્યકારી થાય. રૂપકમાં દેખાય એવા કાર્યકારી થાય. રૂપક તો વાત જુદી છે, પણ કાર્યકારી કષાય દેખાય. હવે પ્રતિક્રમણ હોવા છતાં કાર્યકારી થાય છે, માટે પચ્ચખાણી પ્રતિક્રમણ કર્યા છે, છતાં હજી બાકી રહ્યું છે આ. આ ગાંઠ મોટી હોવાથી એ પ્રત્યાખ્યાની કહેવાય. પ્રત્યાખ્યાન આવરણ છે. અને મહીં ઉદય થાય પણ કાર્યકારી ના થાય તો એ સંજ્વલન કહેવાય. ધોલ-બોલ ના આપી દે, પ્રત્યાખ્યાનાવરણમાં પણ મહીં દુઃખ થાય, વેદના થાય. પણ સમાધિ રહે છે એ તો જ્યારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે ‘આ શું છે.’ એટલે આ વાત જુદી જાતની છે ! ક્રોધ-માન-માયા-લોભ પ્રત્યાખ્યાની હોય. એટલે કેવાં ? કે બીજાને ખબર ના પડે. બીજો કોઈ બુદ્ધિવાળો પણ બુદ્ધિથી માપી ના જાય કે આ ક્રોધે ભરાયા છે. એ પોતે એકલા જ જાણે. એ પ્રત્યાખ્યાની હોય ! એટલે પંચ મહાવ્રતધારીની તો વાત જ ક્યાં થાય ? એવો જો કોઈ હોય તો બહુ થઈ ગયું ને આ કાળમાં. એ પ્રત્યાખ્યાની ગયા, એટલે પછી સંજ્વલન કષાયો રહ્યા. છઠ્ઠાથી નવમા ગુણસ્થાનકની દશાઓવ્યવહાર ગુંઠાણું બધાનું ફર્યા કરવાનું. કોઈ ચોથામાં આવે, કોઈ (પા.૨૬૩)પાંચમામાં આવે, કોઈ છઠ્ઠામાં આવે. પહેલાં અપ્રત્યાખ્યાન હતાં, અપ્રતિક્રમણ હતાં. તે હવે આલોચના થઈ, પ્રતિક્રમણ થયાં, પ્રત્યાખ્યાન થયાં ! એટલે એ અપ્રત્યાખ્યાન આવરણ પણ ગયાં. જેને હજુ વ્યવહારમાં જાડી ‘ફાઈલો’ છે તે હજુ છઠ્ઠા ગુંઠાણામાં આવ્યા કહેવાય. વ્યવહારમાં છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય ? સ્ત્રી-પુરુષો, એ બધું છોડ્યું, તેને નહીં પણ અપ્રત્યાખ્યાન આવરણ ના હોવું જોઈએ. પ્રત્યાખ્યાન કરીએ તોય પાછું એનું એ જ દેખાય, એટલે ફરી પાછું ડુંગળીનું પડ દેખાય. એ પ્રત્યાખ્યાન આવરણ. કો’ક ફેરો કલાક બેસી જાય ત્યારે અપ્રમત આવે છે સાતમું ગુંઠાણું. વળી કો’ક ફેરો આઠમું અપૂર્વ આવે ! ત્યાં એવો આનંદ આનંદ થઈ જાય ને ! પણ નવમું ઓળંગાય નહીં. કારણ કે સ્ત્રી-પરિગ્રહ છે ત્યાં સુધી નવમું ગુંઠાણું ઓળંગાય નહીં. પરિણામ સ્વરૂપે પણ કષાય રહિતતાઆ દેહમાં સહેજ પણ ક્રોધ જેવી વસ્તુ ના હોવી જોઈએ. એટલે ક્રોધનું પરમાણુ ના હોવું જોઈએ, લોભનું પરમાણુ ના હોવું જોઈએ, માનનું પરમાણું, કપટનું કોઈ પરમાણુ રહે નહીં, ત્યાર પછી એ ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : કષાયની શૂન્યતા, કમ્પ્લીટ (સંપૂર્ણ) શૂન્યતા થવી જોઈએ ? દાદાશ્રી : એ તો જાણે ગયા, કષાય તો ગયા, ત્યાર પછી એનું પરમાણુ પણ ના રહેવું જોઈએ, એટલે પરિણામ સ્વરૂપે પણ ના રહેવું જોઈએ. કષાયનું જવું એટલે શું કે કૉઝિઝ (કારણ) સ્વરૂપે જવું એનું નામ કષાય જવું કહેવાય. પણ એનું પરિણામ પણ જતું રહે છે, શરીરમાં પરિણામ ના રહે. હમણાં ‘કૉઝિઝ’ તો તમારા જતા રહેલા, પણ પરિણામ સ્વરૂપે હોય, કોઈ જગ્યાએ ચોંટેલું. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ એ પણ પૂરો થઈ ગયો હોય ? (પા.૨૬૪)દાદાશ્રી : હા, એ દશા મેં જોયેલી. ત્યારે તો આ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય, અનુભવ થાય, નહીં તો ના થાય. આત્મા દેખાય નહીં. કષાયનો અભાવ ત્યાં જ આત્મા રહેલો છે. પ્રશ્નકર્તા : અને તે ટોટલ (સંપૂર્ણ) અભાવ. દાદાશ્રી : તે હોઈ શકે નહીં, ઈમ્પોસિબલ (અશક્ય) વસ્તુ છે આ કાળમાં, અને સુષમકાળમાં ઈમ્પોસિબલ જેવી વસ્તુ છે નહીં. પ્રશ્નકર્તા : એટલે કષાયના ઉદ્ભવસ્થાનમાં પણ ન હોય, જ્યાં એનો ઉદ્ભવ થાય છે ત્યાં પણ ના હોય ? દાદાશ્રી : ત્યાં પણ ન હોય. કષાય સહિત પ્રરૂપણા એ નર્કની નિશાનીપ્રશ્નકર્તા : એટલે એ કષાય વસ્તુ જ ન હોય, એમ ? દાદાશ્રી : ત્યારે તો આ જ્ઞાન ઉદ્ભવ થાય છે ! એટલે આ પાટો ઉપર જે છે ને, એ મહારાજ જેટલા પૂછે, એમને કહી દઉ છું કે ‘મહારાજ સાહેબ, વિનંતી કરું છું કે તમે કોઈ દહાડો વ્યાખ્યાન કરશો નહીં.’ તો એ કહે કે ‘કેમ, અમને શું વાંધો છે ?’ મેં કહ્યું, ‘નરકે જવું હોય તો કરજો. આ નરકે જવાનું મોટામાં મોટું લક્ષણ છે.’ બોલો હવે, આ જવાબદારી શી રીતે સમજે ? ભૂલ ખાનાર માણસ આ ભૂલ શી રીતે ખોળી કાઢે ? પ્રશ્નકર્તા : ‘પોતાની’ ભૂલ દેખાય જ નહીં ને ! દાદાશ્રી : એ ના દેખાય તો તો પછી એ છોડે નહીં ને, નરકે જવા જેવી ભૂલ દેખાય. કષાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે. એટલે કષાય સહિત વ્યાખ્યાન આપવાં નહીં. હવે ક્યા કષાય ? એનો નિયમ છે કે પ્રત્યાખ્યાનાવરણ કષાય હોય એ લોકોને વ્યાખ્યાન આપવાનો અધિકાર છે. પણ જેને અનંતાનુબંધી હોય. સમકિત ના થયું એટલે અનંતાનુબંધી હોય જ. હવે એમને આમ (પા.૨૬૫)પૂછીએ કે સમકિત થયું તો કહે કે, ‘ના, નથી થયું.’ એ સમકિત છે નહીં. અનંતાનુબંધીની હાજરીમાં ઉપદેશ આપવો, એ મિથ્યાત્વી કહેવાય. અને મિથ્યાત્વી એટલે ‘પોઈઝનસ.’ એટલે ભગવાને શું કહ્યું કે તીર્થંકરોની વાણી મિથ્યાત્વી વાંચે તો ‘પોઈઝન’ થાય અને મિથ્યાત્વીની વાણી, મિથ્યાત્વ પુસ્તકો, ધર્મ પુસ્તકો, એને જો કદી સમકિત જીવ વાંચે તો એ અમૃત થાય. કારણ કે સાપના મોઢામાં દૂધ જાય તો એ ત્યાં ‘પોઈઝન’ થાય. અત્યારે આ બધે નર્કે જવાની નિશાની છે, કહીએ ત્યારે મારામાર કરે, હિંસા વધે. એટલે અમે બોલીએ નહીં. આ શબ્દ કે જે સામાને સમજાય નહીં, ત્યાં બોલવાનો શું શોખ ? પૂછે તો હું જવાબ આપું. એક બાઈએ છોડી દીધું હઉ. અને પછી જ્ઞાન લેવા આવ્યાં. એ મહાસતી કહે કે ‘અમે વ્યાખ્યાન બે વખત કરીએ છીએ. અને અમે આવું જ કરીએ છીએ. અમે નરકે જવાની તૈયારી કરી છે. એટલે તો અમારે એમને ઉપદેશ આપવાનું મન થાય છે. અને તમારી પાસે જ્ઞાન લઈએ તો ઉપદેશ અપાય ?’ મેં કહ્યું, ‘હા, અપાય.’ પછી એમણે જ્ઞાન લીધું. આવા બધા પાટ ઉપરના લોકોએ જ્ઞાન લીધું ને એનું બહુ સારું પરિણામ આવે છે. સમકિત દ્રષ્ટિથી જ ભેદાય આવરણોપ્રશ્નકર્તા : જ્ઞાયક સ્વભાવીના સંસારી ઉદયો આવે ત્યારે એ એમાં ઉદયવશ ના થાય ? દાદાશ્રી : ના, ઉદયનો એ જ્ઞાતા હોય. ઉદયનો જ્ઞાતા હોય ત્યારે જ્ઞાયક સ્વભાવ કહેવાય, અને ઉદયનો જ્ઞાતા ના હોય ત્યારે ઉદયવશ કહેવાય. પ્રશ્નકર્તા : દાદા, એક વખત જ્ઞાયક સ્વભાવમાં આવ્યો હોય એ પછી પાછો ઉદયવશ થઈ જાય ખરો ? દાદાશ્રી : એ તો ઉદયવશ થઈ જાયને, ભારે ઉદય આવે ત્યારે, (પા.૨૬૬)ઉદય ભારે ચીકણા હોય. તેથી આ પ્રત્યાખ્યાનાવરણ કષાય એમ લખ્યું. તે હું બહુ વિચાર કરતો હતો કે ઓહોહો ! આ પ્રત્યાખ્યાનાવરણ એ કષાય પાછા કઈ જાતના ? જ્ઞાન થતાં પહેલાં હું બહુ વિચાર કરતો હતો. કારણ કે એ લોકોએ શું કહ્યું, અવિરત કષાય એટલે અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાની, આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કર્યું નથી એવા કષાયને શું કહે છે ? ‘અપ્રત્યાખ્યાની.’ પ્રશ્નકર્તા : હવે અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે, પછી પ્રત્યાખ્યાનીમાં આવે. તો એ જે પ્રોસીજર (પ્રક્રિયા)માં આવવાની જે દશા છે એની પાછળ સમકિતની દ્રષ્ટિ છે ? દાદાશ્રી : સમકિત જ. સમકિત દ્રષ્ટિને લઈને જ આગળ વધ્યા કરે. જીવતો ગયો ને રહ્યો મડદાલતે આપણને જે આ ચારે કષાયનું એક પણ કષાય હોય નહીં. એ કષાય મુક્ત બનેલા. ચિંતા રહિત માણસ થઈ શકે નહીં અને ક્રમિક માર્ગમાં ચિંતા રહિત માણસ કોઈ હોય નહીં. જ્ઞાનીઓય ચિંતા રહિત ના હોય. એ અંદર આનંદ હોય, અને બહાર ચિંતા હોય. વ્યવહારમાં, એમને અગ્રશોચ હોય. ભવિષ્યમાં શું થશે એનો. અને ‘અમને’ અગ્રશોચ ના હોય. અમે ‘વ્યવસ્થિત’ પર છોડી દીધું. કારણ કે અગ્રશોચ ક્યાં સુધી ? શોચ કરનારો જીવતો હોય. અને તમારે શોચ કરનારો જીવતો નહીં ને ? કોણ શોચ કરનારો ? પ્રશ્નકર્તા : ‘ચંદુલાલ.’ દાદાશ્રી : હા, એટલે અહંકાર જીવતો છે. અહંકાર બે પ્રકારના. એક કર્મના કર્તા સ્વરૂપે અને એક ભોક્તા સ્વરૂપે. પ્રશ્નકર્તા : હા, એ કર્તા સ્વરૂપે અહંકાર તો ગયો. દાદાશ્રી : કર્તા સ્વરૂપે જીવંત અહંકાર છે જીવતો, અને ભોક્તા સ્વરૂપે મુડદાલ અહંકાર છે. અને મડદાલ બીજું કશું કરી શકે નહીં. (પા.૨૬૭)અને જીવંતનું નામ લીધું હોય તો શુંનું શું કરી નાખે ! એટલે પેલો (જીવતો) ગયો ને આ (મડદાલ) રહ્યો. કર્તાની ગેરહાજરીમાં કર્મ ભૂંસાયએટલે ગુસ્સો આવી જાય. પછી કહે કે, ‘હે દાદા ભગવાન ! તમે તો ના કહ્યું છે. અને મારે તો આ થઈ ગયું, એની માફી માગું છું.’ એટલે ભૂંસાઈ જાય પછી. પ્રશ્નકર્તા : આવું થવું ન ઘટે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ તરત થવું જોઈએ ? દાદાશ્રી : હા, એટલે ભૂંસાઈ જાય પાછું. શાથી ભૂંસાઈ જાય ? પ્રતિક્રમણથી. બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તોય એને થોડું ઢીલું થાય, પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય. ‘હે દાદા ભગવાન, આવું ના હોવું જોઈએ.’ સર્વવિરતિ ગુણસ્થાનક‘શૂટ ઑન સાઈટ’ (દેખો ત્યાંથી ઠાર) જેના હાથમાં આવી ગયું એને રહ્યું શું ? અને દ્વેષ ગયો પછી રહ્યું શું તે ? દ્વેષ ગયો એટલે શું ? ચાર કષાયોમાંથી બે કષાય નિર્મૂળ થઈ ગયા. નિર્મૂળ થયા એટલે શું ? ક્રોધ. પણ ક્રોધના પરમાણુ નહીં. એટલે ચંદુભાઈને ગુસ્સો થાય પણ એમને પોતાને ના ગમે. એટલે દ્વેષ તો સંપૂર્ણ ગયો છે. અને કપટ અને લોભ કંઈક અંશે રહ્યું છે. એ જ્યારે પૂરું થશે ત્યારે વીતરાગ થાય. તે આ ચારિત્રમોહનીયમાં જતું રહેશે. દરેકનું વિભાજન કરીએ ત્યારે જુદું જુદું થઈ જાય. (પા.૨૬૮)સર્વવિરતિ કોને કહેવાય છે ? બીજા કોઈ જીવનો દોષ ના દેખાય. કોઈ ગાળો ભાંડતો હોય, પણ તેનો દોષ ના દેખાય એનું નામ સર્વવિરતિ ! આથી વધારે મોટું સર્વવિરતિ પદ હોતું નથી. કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતિ પદ છે, સંસારમાં બેઠાંય ! એવું આ ‘અક્રમ વિજ્ઞાન’નું સર્વવિરતિ પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠા, ધૂપેલ ઑઈલ માથામાં નાખતાંય, કાનમાં અત્તરનાં પૂમડાં ઘાલીને ફરતો હોય પણ એને કોઈનોય દોષ ના દેખાય. ‘અક્રમ’નું સર્વવિરતિ પદ એને કહેવાય છે કે કોઈનો કિંચિત્માત્ર દોષ ના દેખાયો. ત્યારથી સર્વવિરતિ પદ છે, એવું માનીને ચાલજો. ભલે પછી કાનમાં અત્તરનાં પૂમડાં નાખ્યાં હોય તેનો ‘મને’ વાંધો નથી, પણ કોઈ જીવનો દોષ ના દેખાય, સાપ કરડે તોય સાપનો દોષ ના દેખાય, એવું આ વિજ્ઞાન છે આપણું. પ્રશ્નકર્તા : પછી ‘અક્રમ’ના એ પદમાં ‘પ્રતિક્રમણ’ જેવું કશું જ ના રહેને ? દાદાશ્રી : પછી પ્રતિક્રમણ રહેતું જ નથી. પણ એ દોષ ના દેખાય એવું માની ના લેશો, એના કરતાં પ્રતિક્રમણ કરજો ને ! તમને શું ખોટ જવાની ? એ પાછું નવું કંઈ ખોળી કાઢતાં ક્યાંય ઊધું પાછું ચાલ્યું જાય. વીતદ્વેષ થયો તેને એકાવતારી કહેવાય છે. વીતદ્વેષમાં જેને કાચું રહ્યું હોય, તેને બે-ચાર અવતાર થાય. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં કષાય શૂન્યતાજ્ઞાનીપુરુષનું આપેલું પ્રતિક્રમણ હોય તો દોષ જાય, નહીં તો દોષ જાય નહીં. અનંત અવતાર પ્રતિક્રમણ કર્યા કરે તેનાથી પુણ્યૈ બંધાય. આ સાધુ, આચાર્યો પ્રતિક્રમણ બોલે એનાથી દોષ ભાંગે નહીં, પુણ્યૈ બંધાય અને જ્ઞાનીપુરુષનું આપેલું પ્રતિક્રમણ એ તો શૂટ ઑન સાઈટ હોય. દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ કરે. આ બધાને એટલી બધી (પા.૨૬૯)જાગૃતિ વર્તે છે કે દોષ થતાંની સાથે દેખાયા જ કરે. હજારો દોષ દેખાય, તે ઊભા થાય કે તરત દેખાય, કારણ કે કષાયભાવ બધા ઓગળી ગયા હોય છે. કષાયભાવને લીધે અજાગૃતિ છે. પ્રશ્નકર્તા : બીજા તરફ અતિક્રમણ ન હોય, અને કોઈ ને કોઈ કષાય ના હોય તો, તે વગર સો ટકા જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતે રહેવાય ? દાદાશ્રી : એમ નહીં, કોઈના તરફ ભલે અતિક્રમણ વિચારમાં ય ન હોય, પણ મન તો કોઈને કોઈ કષાયમાં હોય જ, રાગમાં ના હોય તો દ્વેષમાં હોય. જ્ઞાતા-દ્રષ્ટામાં ના રહેવાય ત્યાં સુધી કષાય જ હોય. પ્રશ્નકર્તા : આ કોઈ પણ વિચાર ચાલતો હોય ને એમાં કોઈને કોઈ કષાય હોય જ છે ? દાદાશ્રી : હોય જ, હોય જ. પણ જે વિચારો આપણે જોઈ શકીએ એ વિચારમાં કષાય નથી. પ્રશ્નકર્તા : એ ગૂંચળું આખું આવીને જાય પછી જ ખબર પડે. દાદાશ્રી : ના, એને જોઈ શકીએ, પછી ખબર પડે. તો પણ ત્યાં સુધી કષાય કહેવાય. પ્રશ્નકર્તા : પંદર-વીસ મિનિટ ચાલે પછી દેખાય. દાદાશ્રી : કષાય આપણી જાગૃતિ બંધ કરી દે. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું ના રહેવા દે. અને જો આપણને ખરાબમાં ખરાબ વિચાર આવતા હોય અને તે જોયા કરીએ તો કષાયનો કોઈ ભાગ અડતો નથી. ક્રોધનો અભાવ ત્યાં વર્તે ક્ષમાઆ લોકો કહેશે કે, ‘ભગવાન મહાવીરને તો બહુ કષ્ટ પડ્યાં (પા.૨૭૦)કહે છે. બહુ દુઃખ વેઠ્યું ને બહુ તપ કર્યાં ને બહુ કષ્ટ કર્યાં.’ એ બધું કષ્ટો કરતાં મોક્ષ થાય નહીં. એ બધી શેના જેવી વાત છે, લોકો શું કહે કે કોઈ ગમે તેવો ભયંકર દોષ કરે પણ ભગવાન ક્ષમા રાખે. ભગવાન કોઈ દહાડો ક્ષમા રાખતા જ નથી. બધા લોકોને ક્ષમા દેખાય. કારણ કે ક્ષમાનો અર્થ શું છે ? ક્ષમા જેવી વસ્તુ જ નથી. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા. એટલે ક્ષમા કરવી ના પડે. તે આપણા આ સાધુઓને-બાધુઓને સમજાય નહીં એટલે કહે કે ભગવાન તો કેવી ક્ષમા રાખે છે ! ક્ષમા હોતી નથી. અહંકારે કરીને જે કહે છે કે જા, તને માફી આપું છું, એ બીજી વસ્તુ છે. એ ક્ષમા સમજાય છે પણ તે સ્થૂળ ભાગમાં. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા.’ કષાય પરવશપણે, પ્રતિક્રમણ સ્વવશપણેઆ અક્રમ વિજ્ઞાન એટલું સ્વીકાર કરે છે તે ક્રોધ-માન-માયા-લોભ એ બંધ હોય તો જ સંયમ છે. નહીં તો એ થાય તો પ્રતિક્રમણ કરજો. કારણ કે એ અતિક્રમણ છે. વિષયો એ અતિક્રમણ હોતા નથી અને આ કષાયો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ શીખવાડેલું છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી બંધ થઈ જશે. કષાયોના વ્યવહારથી જગત ઊભું થયું છે, વિષયોના વ્યવહારથી નથી થયું. કષાયોના વ્યવહારથી થયું છે જગત, એ અતિક્રમણ કહેવાય અને પ્રતિક્રમણ કરો તો ધોવાઈ જાય. કષાય થવા એ પરવશતાથી થાય છે અને એનું પ્રતિક્રમણ કરવું એ સ્વવશતાથી થાય છે. એટલે પુરુષાર્થ પ્રતિક્રમણથી છે. તમારામાં અહંકાર અને માન એ જાય છે કે નહીં, ઓછા થાય છે કે નહીં ? પ્રશ્નકર્તા : ઓછા થાય છે. દાદાશ્રી : હં. તો એ બધો જે માલ છે તે જવા માંડ્યો, એ બાર મહિના થાય એટલે ચાલતા થયા. આ માલ છે એ ઓછો થઈ ગયો એટલે આત્મા થઈ ગયા. (પા.૨૭૧)પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ એ ડિસ્ચાર્જ છે, એટલે આવે તો ખરું, પણ હવે એને જોયા પછી પોતે છૂટા કેવી રીતે રહે ? દાદાશ્રી : જાગૃતિ ઓછી, ડીમ થઈ જાય તો એમણે શું કરવું પડે ? મારી આજ્ઞામાં જ રહેવાનો પ્રયત્ન કર્યા જ કરવો. પછી ઢસરડો વાળે ને આજ્ઞામાં ના રહે, તો પછી એનું એ જ ! એટલે તું આજ્ઞામાં રહેવાનો કેટલો પ્રયાસ કરે છે ? પ્રશ્નકર્તા : ઘણો વખત. દાદાશ્રી : તમને હઉ ક્રોધ-માન બધું દેખાય છે ? પ્રશ્નકર્તા : થઈ ગયા પછી દેખાય. દાદાશ્રી : તેનો વાંધો નહીં. થઈ ગયા પછી જ દેખાય ને. થતી વખતેય દેખાય, થયા પછીય દેખાય. પ્રશ્નકર્તા : અને કોઈ વખત એવું થાય કે દોષ થતી વખતે દેખાતું હોય, ને તોય આ કર્યા કરે. દાદાશ્રી : ના, એ અટકે નહીં, અટકાવવું એ ગુનો કહેવાય. કારણ કે ચાલુ ફિલ્મને જોઈ રહેવાની છે. પછી મારામાર કરતો હોય કે અહિંસા કરતો હોય કે હિંસા કરતો હોય. જોનારને હરકત નથી. એ મારામાર કરતી વખતે રડી ઊઠે તેનો વાંધો છે કે એમ ના મારશો, ના મારશો. અલ્યા ! આ ભરેલી જ ફિલ્મ છે. એટલે જોનારને કોઈ વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ એવી રીતે થતું હોય ને, ત્યારે ખબર પડેને આપણને ? અંદર વઢીએ પણ ખરા, કે આ તમે કરો છો એ સાચું નથી, તોય પાછા એક બાજુથી એ માને નહીં, તે કરે જ. દાદાશ્રી : એનો વાંધો નહીં. કારણ કે જોનાર શુદ્ધ છે. જુએ છે એ સારું અને ખરાબ છે, પણ તે સાપેક્ષ દ્રષ્ટિથી છે. આપણને જોનારને માટે સારું-ખરાબ હોતું નથી. જોનારને તો બધું સરખું જ છે. આ તો (પા.૨૭૨)લોકોના મનમાં આ સારું-ખોટું છે, બાકી ભગવાનને ઘેર સારું-ખોટું છે નહીં. સમાજને સારું-ખોટું છે. ભગવાન તો શું કહે છે, જોઈ ગયો, એટલે છૂટો થઈ ગયો ! એ છૂટો ને આ છૂટું ! એટલે શું થયું કે, અજ્ઞાને કરીને, અણસમજણે કરીને બાંધેલા હિસાબ એ ‘જોઈને’ કાઢો. એટલે તમે છૂટા ને એ છૂટા. ‘જોયા’ વગર બાંધેલા હિસાબ ‘જોઈને’ કાઢો એ છૂટા ! આ ટાંકી ખલાસ થતી થતી થતી અંતે જ્યારે ખલાસ થવા આવશે ને, ત્યારે તમને શરીર હલકું ફૂલ જેવું લાગશે. અહીં જ છૂટી ગયા એવું લાગશે. હવે શાથી ટાંકી ખલાસ થશે ? કારણ કે એમાંથી નીકળ્યા કરે છે ખરું, પણ નવી આવક નથી અને આવક વગરની ટાંકીમાં શું રહે પછી એને ? પ્રશ્નકર્તા : કાંઈ ન રહે. દાદાશ્રી : પછી એ વહેલું ખાલી થઈ જાય. (પા.૨૭૩)[15] ભાવઅહિંસાની વાટેઅંતિમ પ્રતિક્રમણે લેણદેણ સમાપ્તપ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં, કોઈ પણ જાતના જીવ સાથે લેણદેણ હોય તો, આપણે એનાં પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છુટકારો આપી દે ? દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : આપણે જાણતા ન હોય એવા બધા જીવો ? દાદાશ્રી : ભેગા મળીને, જેટલું લખેલું એટલું જ, પછી કંઇ નહીં. પ્રશ્નકર્તા : પણ એ શું બોલાય ? દાદાશ્રી : જે જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયાં હોય, તે બધા મને માફ કરો. પ્રશ્નકર્તા : જીવમાત્ર ? દાદાશ્રી : જીવમાત્રને. પ્રશ્નકર્તા : એટલે પછી એમાં વાયુકાય, તેઉકાય બધા જીવો આવી જાય ? દાદાશ્રી : એ બધું બોલ્યા, એટલે એમાં બધું આવી જાય. દુઃખ ન દેવાનો ભાવપ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું (પા.૨૭૪)કરવું ? દાદાશ્રી : અજાણથી હિંસા થાય એટલે આપણને તરત જ પશ્ચાત્તાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુઃખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી. અજાણતાની ભૂલ, પાપ બાંધે ?અત્યારે મહીં બીજા આડાઅવળા ભાવ આવે છે, તે પડી ગયેલાં બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઈ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું. તમને શું ખબર પડે કે એ જીવડું તમારાથી વટાઈ ગયું તે શુંય વેર બાંધે ? ભૂલથી વટાઈ ગયું તે વેર કેટલું બધું બાંધે ! કારણ કે એ જીવડાંના જે સંસારી, એનાં બૈરાં-છોકરાં બધાં હોયને, ઋણાનુબંધી તો હોયને ? એ તો એમ જ જાણે કે આ ભાઈએ જાણી જોઈને માર્યું, આ ભાઈએ ખૂન કર્યું. તમને અજાણથી લાગે, પણ એમને તો એમ જ લાગેને કે મારા ઘરનો માણસ મરી ગયો, ખૂન થઈ ગયું. એનેય સંસાર તો ખરોને ? જ્યાં જાય ત્યાં સંસાર તો ખરોને ? પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ? દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ? પ્રશ્નકર્તા : દાઝી જવાય. દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ? પ્રશ્નકર્તા : દાઝે. (પા.૨૭૫)દાદાશ્રી : એ હઉ દાઝે ? એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં. એ અજાગૃતિ કહેવાયપ્રશ્નકર્તા : કોઈ મહાત્માને જ્ઞાન પછી, રાત્રે મચ્છર કૈડતા હોય, તો તે રાત્રે ઊઠીને મારવા માંડે, તો તે શું કહેવાય ? દાદાશ્રી : એ ભાવ બગડ્યો કહેવાય. જ્ઞાનની જાગૃતિ ન કહેવાય. પ્રશ્નકર્તા : એને હિંસક ભાવ કહેવાય ? દાદાશ્રી : હિંસક ભાવ તો શું, પણ હતો તેવો ને તેવો થઈ ગયો કહેવાય. પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પ્રશ્નકર્તા : પાછું ફરી તેવું ને તેવું, બીજે દહાડે કરે તો ? દાદાશ્રી : અરે, સો વખત કરે તોય પ્રતિક્રમણથી ધોવાઈ જાય. ‘એનાથી’ નિકાચિત પણ બને હળવાંપ્રશ્નકર્તા : ગયા ભવનું નિકાચિત કર્મ આ ભવમાં ભોગવવાનું, પણ આ ભવનું નિકાચિત કર્યું હોય એ ? દાદાશ્રી : એ તો આવતા ભવમાં ભોગવવાનું. એ તરત ફળ આપે નહીં. પાક્યા સિવાય ફળ આપે નહીં. પ્રશ્નકર્તા : એ નાશ પામે જ નહીંને, ભોગવવું જ પડેને ? દાદાશ્રી : મોળું થાય, હલકું થાય, જો એની પર પસ્તાવો કર કર કરીએ તો હલકું થાય. અડધો રસ નીકળી જાય. હજુ રસ, એમાં જે કડવા રસો, જે પેઠા હોય ને તે પાછા નીકળી જાય. નિકાચિત એટલે ભોગવ્યે જ છૂટકો થાય. બીજા કોઈ ઉપાય જ નહીં. પણ એને મોળું કરી શકાય. (પા.૨૭૬)પ્રશ્નકર્તા : ભોગવટામાં ફેર થઈ જાય ? દાદાશ્રી : હા, એક જણને અહીં વાગ્યું હોય તે રહેવાય નહીં. અને બીજાને એવું વાગ્યું હોય તો એ તો શાંતિથી હરેફરે બધું જ કરે, પાટો બાંધીને. પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને જ્યારે કાનમાં બરૂ માર્યા... દાદાશ્રી : એ નિકાચિત હતું. પ્રશ્નકર્તા : એ તો ભગવાન હતા, એટલે એમને હલકું થઈ ગયું હશે ને ? દાદાશ્રી : ના, હલકું નથી થયું. પ્રશ્નકર્તા : તો પછી આપણા જેવાને કેવી રીતે હલકું થાય ? દાદાશ્રી : તમે કરો તો હલકું થાય હજુ. એ તો મોટા માણસ હતા. એટલે હલકું ના કરે. એ તો રાજા હતા, તે પેલાના કાનમાં સીસું રેડાવ્યું પછી પ્રતિક્રમણેય કરેલું નહીં ને ! પ્રશ્નકર્તા : પણ એમણે તો જાણીને સીસું રેડાવ્યું પણ આપણે માંકડ કે એવી જીવાતને આમ સોયા ઘાલી ઘાલીને માર્યા હોય... દાદાશ્રી : સોયા મરાતા હશે કે ? કેવા માણસ છો ? એ માણસને કેમ નથી મારતા ? એને માબાપ નહીં એટલે ? છોકરો ઉપરાણું લેનાર નહીં એટલે ? પ્રશ્નકર્તા : હવે રસ્તો બતાડો એનો. આવાં તો બહુ પાપ કરેલાં છે, એના માટે શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ ! (કલ્પનાથી) એક વાડકીમાં માંકડ રાખી પછી એનો દેહ જોઈને, પ્રતિક્રમણ બધું કરીને, પછી એને જમાડીને છૂટો કરી દેવાનો. પ્રશ્નકર્તા : અંદર બહુ રડવું જ આવે કે આટલું બધું પાપ કર્યું (પા.૨૭૭)છે ને. એટલે બધું આમ સાંભરે તો ખરું, દરરોજેય દેખાય. દાદાશ્રી : પ્રતિક્રમણ કરીને હલકું કરી નાખો. તે ઘડીએ કોઈને પૂછીને કરવું હતું ને. પ્રશ્નકર્તા : પણ બીજું કોઈ મળ્યું જ નહીં ને ? દાદાશ્રી : ઘરમાં પૂછવું હતું, ગામવાળાને પૂછવું હતું. પ્રશ્નકર્તા : ઘરમાં તો અમારી મારવાની વિધિ ચાલુ જ હતી. દાદાશ્રી : એમ ? બેઉ જણ સાથે જ ? પ્રશ્નકર્તા : એય એની રીતે મારે અને હુંય મારું મારી રીતે. દાદાશ્રી : રોજ બસ્સો-પાંચસો મારી નાખો, નહીં ? પ્રશ્નકર્તા : હા, જેટલા હોય એટલા મારી નાખીએ, દાદા મળ્યા પછી નથી માર્યા. દાદાશ્રી : મારી નાખવાનો તો વિચારેય ના કરવો. કોઈ પણ વસ્તુ ના ફાવે તો બહાર મૂકી આવવી. તીર્થંકરોએ ‘માર’ શબ્દ હઉ કાઢી નખાવેલો. ‘માર’ શબ્દેય ના બોલશો, કહે છે. ‘માર’ એય જોખમવાળો શબ્દ છે, એટલું બધું અહિંસાવાળું, એટલા બધા પરમાણુ અહિંસક હોવા જોઈએ ! પ્રશ્નકર્તા : નહીં તો ભાવમાં ફેરફાર થઈ જાય ? દાદાશ્રી : હા, કિંચિત્માત્ર કોઈને દુઃખ ના થાય. કારણ કે કોઈ આ દુનિયામાં દોષિત છે જ નહીં. હિંસા, દ્રવ્ય ને ભાવનીપ્રશ્નકર્તા : ભાવહિંસા અને દ્રવ્યહિંસાનું ફળ એક જ પ્રકારનું આવે ? દાદાશ્રી : ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને (પેલા) (પા.૨૭૮)સિનેમાની પેઠે (આ) જે સિનેમા ચાલે છે ને, તેને આપણે જોઈએ છીએ, એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ (દેખાય નહીં એવું) વર્તે અને દ્રવ્યહિંસા તો પ્રત્યક્ષ દેખાય. મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે. તમે કહો કે જીવોને બચાવવા જેવા છે (ભાવઅહિંસા). પછી બચે કે ના બચે (દ્રવ્યઅહિંસા), તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ. ખેડૂતો માટે સ્પેશિયલ પ્રતિક્રમણપ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે ‘મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો’ એવું વાંચ્યું, પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપળ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ? દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો, આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપળ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ. પ્રશ્નકર્તા : પણ આ પાપ તો થવાનું જ ને ? દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો. આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી (પા.૨૭૯)થઈને છોડવાને ફેંકી દે. તમને સમજણ પડે છે ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી અમારી જવાબદારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે મારે ભાગે આ ક્યાંથી આવ્યું ? પ્રશ્નકર્તા : સમજ્યો. આ ખેડૂત કરતાં વેપારીઓ પાપ વધારે કરે છે. અને વેપારીઓ કરતાં આ ઘેર બેસી રહે છે તે બહુ પાપ કરે છે મૂઆ. પાપ તો મનથી થાય છે, શરીરથી પાપ થાય નહીં. દાદાશ્રી : તમારે વાત સમજવાની. આ બીજા લોકોને સમજવાની જરૂર નહીં. તમારે તમારા પૂરતી સમજવાની. બીજા લોકો જે સમજે છે એ જ બરોબર છે. પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ? દાદાશ્રી : નાછૂટકે જે જે કાર્ય કરવું પડે તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું. તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શીખવાડીએ. એટલે નવાં પાપ બંધાય નહીં. ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ. પણ એ બંધાય તેની સાથે અમે તમને દવા આપીએ કે આવું બોલજો. એટલે પાપ ઓછાં થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. દવા ના જોઈએ ? ખેતરમાં ગયા એટલે ખેડો-કરો, એટલે પાપ તો થવાનાં જ. મહીં કેટલાય જીવો માર્યા જાય. આ શેરડી કાપો તો પાપ કહેવાય નહીં ? એ જીવો જ છે ને બિચારા ? પણ એનું શું કરવાનું એ અમે તમને સમજાવીએ, એટલે તમને દોષ ઓછા બેસે. અને ભૌતિક સુખો સારી રીતે ભોગવો. ખેતીવાડીમાં જીવજંતુ મરે તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું (પા.૨૮૦)આ ધંધો કરું છું તેના જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું તેનો મને વાંધો નથી પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર. હિંસાનાં પ્રતિક્રમણોપ્રશ્નકર્તા : ગઈકાલે હું કાર ડ્રાઈવ કરતો’તો ને, ત્યારે ગાડી નીચે કબૂતર આવી ગયું. તો બહુ દુઃખ થયું. દાદાશ્રી : તે ચંદુભાઈને દુઃખ થયુંને ? તો ચંદુભાઈને કહીએ કે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : બધું કર્યું. દાદાશ્રી : કર્યું ને ? સારું. પ્રશ્નકર્તા : પણ ખબર ન પડી કે કેવી રીતે ક્યાંથી રસ્તામાં એ આવી ગયું. દાદાશ્રી : એવું છે ને કે એના કોઈ ગુનાથી એ મરવાનું હતું. પણ મારનારને ખોળતું હતું એ. કોઇ હિંસક જનાવર છે ? ત્યારે કહે, આ ચંદુભાઈ આવા ભાવવાળા છે, એવા મારનારને ખોળતું હતું. અને જેણે નક્કી કર્યું છે કે મારે કોઈ જીવને મારવો નથી, તેને એ અડે નહીં. મારવો છે એવો ભાવ ના હોય, પણ ગાડી નીચે આવે તો મરીય જાય, એમાં અમે શું કરીએ ? એવું કહે, તો એને એવું ભેગું થાય. સાચવવું હોય તેને એવું ભેગું થાય. જેવો ભાવ એવો તમારો હિસાબ. એ અત્યારે ભાવ થોડો મળી ગયો. જૈન થઈને ઉતાવળ કરે ને વચ્ચે કોઈ આવે તેને ‘હું શું કરું’ કહે. ગમે ત્યારે પણ સ્ટ્રોંગ પોલિસી રાખવી જોઈએ. ના, કોઈપણ સંજોગોમાં મારે મારવું નથી. હવે, આપણે અહીં પ્રતિક્રમણ કરાવીશું ને તો એ તો બધું ચોખ્ખું થઈ જાય. આ તો મોટા જીવ દેખાય છે, બીજા નાના જીવ તો કેટલાય (પા.૨૮૧)વટાઈ જાય. એનું એ ‘ચંદુભાઈ’ પાસે પ્રતિક્રમણ કરાવવું. પ્રશ્નકર્તા : મનમાં એવું થયેલું કે વ્યવસ્થિત રીતે એનો પણ એ રીતનો હિસાબ હશે, એવું નહીં ? દાદાશ્રી : હિસાબ ખરો ને, એનો હિસાબ ને નિમિત્ત આપણે. પણ આપણા મહાત્માઓ એ નિમિત્ત ના થાય. એ ગાડી હાંકતા હોય ને તોય ના થાય કે મનમાં ભાવ ના હોય કે મારે કોઈને મારવું છે. અને આપણે તો જરા ઉતાવળ આ કરે ને તો વચમાં આવી જાય તો ‘શું કરીએ’ કહેશે. પ્રશ્નકર્તા : એમાં મનના વિચારો કેવી રીતે બદલવા હવે ? દાદાશ્રી : હવે એ કશું કરવાનું નથી. હવે તો આની પાસે પ્રતિક્રમણ કરાય કરાય કરવાનું. પણ ચોખ્ખું થઈ ગયું ને ? પ્રશ્નકર્તા : હા, થઈ ગયું. તમે પેલું વાક્ય કહ્યું હતું ને કે કોઈ જીવમાત્રને મન-વચન-કાયાથી દુઃખ ન હો. એટલું સવારમાં બોલે તો ચાલે કે ના ચાલે ? દાદાશ્રી : એ પાંચ વખત બોલે, પણ આ એવી રીતે બોલવું જોઈએ કે પૈસા ગણેને, અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ. રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય, જેવું અંતઃકરણ હોય એવું બોલતી વખતે રાખવું પડે. (પા.૨૮૨)[16] વસમી વેરની વસૂલાતવેરનાં પ્રતિક્રમણોપ્રશ્નકર્તા : મારો ઓળખાણવાળો છે તે કહે છે કે એનો ભાઈ એને મારવા ફરે છે. એટલે મને તરત વિચાર આવ્યો કે આ આમની સાથે હું ક્યાં વેર બાંધું ?’ દાદાશ્રી : હા, સીધું વેર બાંધે પેલો. આપણે વેર કરીએ અને પેલો જાણતો હોય કે, આ મારી જોડે વેર કરે છે, એટલે એ પછી સીધું બાંધે. તે આવતો ભવ કરડીને મારી નાખે. પ્રશ્નકર્તા : એને તો ખબર નથી કે કોણે વેર બાંધ્યું છે તે ? દાદાશ્રી : એટલે એ વેર બાંધતો નથી આમાં. તમે વેર બાંધી રહ્યા છો, એકાંતિક. બન્ને પક્ષનાં વેર હોયને, તો વેર કહેવાય. અને વેર એટલે એ વેર લે પેલો. અને આ તો આપણી મેળે જ ઉત્પન્ન થાય મહીં, પોતે જે બાંધ્યું. હવે શું કરશો ? પ્રશ્નકર્તા : આ વિચાર આવ્યો એની પરથી આટલું બધું પીંજણ નીકળ્યું. દાદાશ્રી : પણ વિચાર જ આવ્યો હતો, ને બીજું કશું ઇચ્છા નહીંને ? પછી પ્રતિક્રમણ કર્યું હતું ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ મારાથી નથી થતાં. દાદાશ્રી : એ કરવું પડે. એમ કંઈ ચાલતું હશે ? (પા.૨૮૩)પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જ થયુંને ? આટલું બધું પીંજણ થયું ને ? દાદાશ્રી : પોતાનો ભાઈ આવ્યો હોય તેને મારવાનો વિચાર આવે કોઈને ? પ્રશ્નકર્તા : પણ આટલું બધું પછી એની પર વિચાર કર્યા કે આ વેર કોણ બાંધે છે, કેમ બાંધે છે, એ બધું પ્રતિક્રમણમાં જ જાયને ? દાદાશ્રી : પીંજણ કર્યું. કો’ક બાંધે છે એ તો તમને લાગ્યુંને ? કોઈ કશું કરે છે ? પ્રશ્નકર્તા : પોતે પોતાની જાતને જ બધું કરે છે. દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાને જાણતાં કે અજાણતાં એના અહંકારને ‘એ’ (છંછેડીએ) કરીએ તો બીજું એ બાંધે. અને જે પછી આવે વેરનું ફળ, એવું આવે કે જિંદગી ભુલાડી દે, એવું દુઃખ આવે. કોઈ જીવને ત્રાસ ના અપાય. એ તમને ત્રાસ આપતો હોય તો તમારો હિસાબ છે. માટે જમે કરી લો. અને નવેસરથી આપવાનું બંધ કરી દો, જો આનાથી છૂટા થવું હોય તો. તમે શું નક્કી કર્યું છે ? પ્રશ્નકર્તા : એ જે આપે છે તે હિસાબનું જ આપે છે. દાદાશ્રી : હંઅ, આ આપણી પાસે માર્ગ સરળ આવી ગયો. ઉપાધિઓ નથી, ચિંતાઓ ઘટી ગઈ, બીજું બધું નથી. તો પછી હવે જે ધારેલું હોય એ કરી શકાય એવું છે. અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય આ ભવમાં જ છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે. ચીકણી ફાઈલો સામે પ્રતિકારભાવપ્રશ્નકર્તા : મારી ઑફિસમાં ત્રણ-ચાર ચીકણી ફાઈલો છે. આ ફાઈલો સળી કરે, તો ફેણ મારવાના ભાવ થાય છે. (પા.૨૮૪)દાદાશ્રી : એમ ? હજુ આમ પહેલાંના ભાવ થાય, ફેણ માંડે નહીં ? પ્રશ્નકર્તા : તો આવા ભાવ અહંકારને દબાવી દેવાના કે ક્રિયામાં આવવા દેવાના ? દાદાશ્રી : આપણે દબાવવાના યે નહીં ને ક્રિયામાં આવવા દેવાનાય નહીં. શું થાય છે એ ‘જોવાનું’. ત્યારે ચંદુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું, બસ ! આ તમારી ફરજ, જ્ઞાતા-દ્રષ્ટાની અને ચંદુભાઈ કોના આધારે ચાલશે ? ત્યારે કહે, ‘વ્યવસ્થિત’ના આધારે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ફાઈલોનો સમભાવે નિકાલ. બીજો કશો વાંધો નહીં. બધું કમ્પ્લીટ (સંપૂર્ણ) છે. આમ તૂટે વેરના તાંતાપ્રશ્નકર્તા : મારે એ વેર છૂટતાં નથી, વેરના તાંતા જે ઊભા છે, જે વાણીથી એ બંધાયેલાં છે, એ તાંતા છોડવા જતાં, એના એવાં પડ જામેલાં પડ્યાં છે કે ઉખડતાં નથી અને એની સામે જ્યારે દાદાને યાદ કર્યા, પછી અતિક્રમણનું પ્રતિક્રમણ કરવા જતાં પ્રતિક્રમણ અટકી જાય છે અને તાંતા ઊભા રહે છે. અને તાંતા પાછા જોર કરે છે. એટલે હજી એમ થાય છે કે આ કેમ છૂટતા નથી ? દાદાશ્રી : એ તો બહુ ‘કોમ્પેક્ટ’ કરેલું તેથી. જેમ આ w હોય છેને, તે જો ગાંસડી છૂટી કરી નાખે તો આખો રૂમ ભરાઈ જાય. તેવું આ દબાવીને ‘કોમ્પેક્ટ’ (ઠાંસી ઠાંસીને) કરી કરીને માલ ભરેલો છે એટલે તમારે તો નિરંતર પ્રતિક્રમણ ચાલુ રાખવાં પડે, તો પાર આવશે. પ્રશ્નકર્તા : પણ ગમે એટલો પ્રયત્ન કરીએ તોય પ્રતિક્રમણ કરતાં અટકાવી દે છે. એમ થાય છે કે એની સામે પેલા વેરના તાંતા જોર કરે છે. એટલે પુરુષાર્થને પણ થકવી દે છે. દાદાશ્રી : એ તો એવું છે ને કે ગમે એટલું જોર કરે તોય રાતે સૂઈ જવાનું. ભગવાને કહ્યું છે, દહાડે કામ કરજે પણ રાતે સૂઈ જજે. (પા.૨૮૫)એટલે આપણે મહીં બંધ થઈ જાયને તો પેલુંય બંધ કરી દેવું. એવું એકદમ એની ઉપર જોર ના કરવું. પ્રશ્નકર્તા : જોર એટલે મારું શું કહેવાનું છે કે પ્રતિક્રમણ આપણા હાથમાં આવવા દેતાં પેલાં તાંતો અટકાવી દે છે. એટલે પુરુષાર્થ આપણો અટકી જાય છે. દાદાશ્રી : પણ એ પુરુષાર્થ તો અટકી જાય એનું કારણ છે. ત્યાં આગળ આપણે બંધ રાખવું. થોડીવાર રિલીફ લીધા પછી પાછું બીજું ફરીવાર પ્રતિક્રમણ ચાલુ કરવું. પણ રિલીફ લેવાની. કારણ કે અનંત અવતારનાં આ બધાં અતિક્રમણ થયેલાં છે. અતિક્રમણ સિવાય બીજું કરે છે જ શું તે ? અતિક્રમણ સિવાય બીજું કશું થતું જ નથી. કાં તો પ્રેમ કરે છે, રાગ કરે છે, તેય અતિક્રમણ કહેવાય છે. કાં તો દ્વેષ કરે છે, તેય અતિક્રમણ કહેવાય છે. બન્ને અતિક્રમણ છે. અને અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ અવશ્ય હોવું ઘટે. જ્યાં પ્રતિક્રમણ નથી તો મોક્ષમાર્ગ નથી. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. તો જ પેલાં અતિક્રમણ ભૂંસાય. પ્રશ્નકર્તા : આમાં બહુ પુરુષાર્થ કરવો પડે છે. દાદાશ્રી : પુરુષ થયા માટે પુરુષાર્થ થઈ શકે. પ્રશ્નકર્તા : તો એમાંથી મુક્ત રહેવા માટે શું પુરુષાર્થ કરવો ? દાદાશ્રી : મન શું કરે છે, ચિત્ત શું કરે છે, તે જોયા કરવું એ એનો પુરુષાર્થ છે. એનાથી બધું ઓગળેપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી ગમે તેવી કોઈની દુશ્મની હોય, વેરભાવ હોય કે તેજોદ્વેષ કરતો હોય એ ઓગળી જાય ખરો ? દાદાશ્રી : અતિક્રમણથી આ જગત ઊભું થયું છે. બધાં દુર્ગુણો ને એ બધું અતિક્રમણથી થયું છે અને પ્રતિક્રમણથી બધું ધોવાઈ જાય. (પા.૨૮૬)બે જ વસ્તુ છે આ. પ્રશ્નકર્તા : એના હૃદયનું પરિવર્તન થઈ જાય ? દાદાશ્રી : બધું હૃદયનું પરિવર્તન થાય. અને એ તમને ઘેર ખોળવા આવે. બધું થઈ જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? પોતાના દોષ જોવા. ને જો બીજાના દોષ જુઓ તો પાછું આગળ ને આગળ ચાલે. માટે બીજાના દોષ જોવાય જ નહીં તો જ વેર છૂટે. તો બંધન રહે ચાલુ જપ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર ક્યાં રહી, આપણને ભેગો જ નથી થવાનો તે ? દાદાશ્રી : એ પ્રતિક્રમણ એનો અર્થ જ એ કે આ ‘જે થઈ ગયું’ને તેનું પ્રતિક્રમણ કરીએ છીએ. ‘થવાનું છે’ તેનું પ્રતિક્રમણ નથી કરતા. આપણે થઈ ગયાનું પ્રતિક્રમણ કરીએ છીએ એટલે આ ભાવથી આપણે છૂટ્યા. આપણે છોડીએ છીએ, એ છોડતા નથી. પ્રશ્નકર્તા : સમજો કે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત ચૂકવવા પણ જવું પડેને ? દાદાશ્રી : ના, એને ચૂકવવાનું નથી. આપણે બંધાયેલા રહ્યા, એની આપણે લેવાદેવા નથી. સામા જોડે આપણે કશી લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : પણ આપણે ચૂકવવું પડેને ? દાદાશ્રી : એટલે આપણે જ ફરી બંધાયેલા છીએ. માટે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણથી મટે. તેથી તો તમને હથિયાર આપેલુંને, પ્રતિક્રમણ ! આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એનાથી બધા હિસાબ ચૂકતે થાય. બાકી વેરથી તો વેર જ વધે. સામા થઈએ તો વેર વધે. બીજાની (પા.૨૮૭)સામા થઈએ તો વેર ના વધે ? પ્રશ્નકર્તા : વધે જ. દાદાશ્રી : અનુભવ કરી જોયેલો ? એટલે વેરથી વેર વધે એટલે આપણે જેમ તેમ કરીને માફી માગીને છુટકારો મેળવવો. નિર્લેપ આમ રહેવાયપ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ને વેર છોડી દઈએ પણ સામો વેર રાખે તો ? દાદાશ્રી : ભગવાન મહાવીર ઉપર એટલા બધા લોક રાગ કરતા હતા ને દ્વેષ કરતા હતા, તેમાં મહાવીરને શું ? વીતરાગને કશું ચોંટે નહીં. વીતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે ને પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે. તે તેલવાળાને બધી ધૂળ ચોંટે. આજ્ઞામાં રહેવું છે ને તમારે ? તો તમને નહીં ચોંટે. એટલે આજ્ઞામાં રહેવાનું. તેલ ચોપડે તો ચોંટે ને ? દેહની જ્યારે ચીકાશ છે એને તેલ કહેવાય. દેહની ચીકાશ છે તેને આ ધૂળ ચોંટે. એ ચીકાશ જ નથી તો કેવી રીતે ચોંટે તે ? આ મારી પરેય રાગ-દ્વેષ કર્યા કરે છે લોકો. વખાણેય કરે છે અને કોઈને ના ગમતું હોય ત્યારે મહીં ગાળોય દે, આડુંય બોલે. કારણ કે સ્વતંત્ર છે. અને અધોગતિમાં જવાની જવાબદારી એને પોતાને માથે જ છે. પોતાની જવાબદારીથી માણસ ફાવે એ કરે. આપણાથી ના કેમ કહેવાય ? મારે હઉ ! શું ના કરે ? અણસમજણ શું ના કરે ? અને સમજણવાળો તો નામ ના લે. વકીલ હોય તે ગુનો કરતાં ડરે કે ના ડરે ? પ્રશ્નકર્તા : એટલે રાગ-દ્વેષ જે હોય છે તે વ્યક્તિલક્ષી હોય છે ? દાદાશ્રી : પોતાના જ હોય. પોતે ચીકણું કરે, તેલ ચોપડીને કરે તેમાં આપણને શું ? છતાં એટલું ખરું, એક વાત ખરી કે, આપણા ઘરનું કોઈ માણસ (પા.૨૮૮)હોય, તો એના માટે ચંદુલાલને કહેવું કે ‘ભઈ, પ્રતિક્રમણ કર્યા કર.’ પહેલાનું સામસામું ઘર્ષણ છે, અને એ ઘર્ષણ પરિણામ છે, આ અહંકાર પરિણામ નથી. ‘આ’ જ્ઞાન પરિણામ છે. એટલે આપણે એટલું કહેવું કે પહેલાનું છે તે પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : આ બે વ્યક્તિની વચ્ચે જે વેર બંધાય છે, રાગ-દ્વેષ થાય છે, હવે એમાં હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં, તો એ પાછી આવતા ભવે આવીને એ રાગ-દ્વેષનો હિસાબ પૂરો કરે છે ? કારણ કે એ વેર એનું તો એણે ચાલુ રાખેલું જ છે ને ? દાદાશ્રી : બરાબર છે. એને આપણાથી દુઃખનું પ્રમાણ વધારે થયું હોય એટલે આપણે એના દુઃખને ભૂલી જઈએ છીએ, પણ એ એનું આવતા ભવ સુધી ના ભૂલે તો આપણે પ્રતિક્રમણ કરવાં પડે. જેટલું પ્રમાણ વધારે થયેલું હોય, સમજાયું ને ? પ્રશ્નકર્તા : એ વેર છૂટે એટલે આપણા પ્રતિક્રમણની ઈફેક્ટિવનેસ (અસર) થઈ કહેવાય ? દાદાશ્રી : હા, પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડ, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ? પ્રશ્નકર્તા : હા. ભગવાન મહાવીર ઉપર ઘણા લોકો રાગ-દ્વેષ કરતા હતા પણ એમને અડતું ન હતું. દાદાશ્રી : અરે, પાર વગરના રાગ-દ્વેષ કરતા હતા, મારતા હતા હઉ. મારતા હતા ને રાગેય કરતા હતા. એમને ઉઠાવીને લઈ જતા હતા. પ્રશ્નકર્તા : ના, પણ એમને અડતું ન હતું. દાદાશ્રી : એમનો તો આમાં ઉપયોગ જ ન હતો ને ? આ દેહમાં ઉપયોગ જ નહીંને ! એ દેહને જે કરવું હોય તે કરે. દેહનું (પા.૨૮૯)માલિકીપણું જ નહીં, તેમાં ઉપયોગ નહીં. માલિકીપણું તો મહીં નહીં, પણ ઉપયોગેય નહીં. આ ટેબલને તું આમ ભાંગી નાખે, મારે, તો એને લેવાદેવા નહીં. ‘યુ આર રિસ્પોન્સિબલ’ (તું જવાબદાર છે) એવી રીતે આ દેહ એમને આની માફક છૂટો દેખાયેલો ! સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ ‘પ્રતિક્રમણ દોષ’ બાકી છે તેથી. એમાં નથી ઉથામતાં ભૂતકાળપ્રશ્નકર્તા : ગઈકાલે સત્સંગમાં એવી વાત નીકળી કે ભૂતકાળ યાદ કર મા અને વર્તમાનમાં રહે. હવે મને થયું કે ભૂતકાળ યાદ કરવો નથી પણ ભૂતકાળનું તો, મન અને ચિત્ત સામે આ એકદમ તાદ્રશ્ય ખડું થઈ જાય છે. એટલે ભૂતકાળ તો આમ ડંખે છે, રુંવાડે રુંવાડે ભૂતકાળ ઊભો થાય છે. એટલે એમ થાય કે આ ભૂતકાળ ભૂલવો કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને, તમારી આ ક્રિયા વેરના નિકાલ માટે ચાલે છે. તમારે તો ભૂતકાળ દેખાય, એટલે પછી પ્રતિક્રમણ ચાલુ થાય. એટલે ભૂતકાળ ઉથામ્યા વગર તમારે પેલા હિસાબ ના દેખાય ને ! બાકી આવું, તમારા જેવું કો’કને જ હોય. આવું બીજા બધાને ના હોય એટલે બીજા બધાને ‘વર્તમાનમાં રહો’ એમ કહીએ. ભૂતકાળ તો બુદ્ધિશાળી માણસો હોય, જે ‘જ્ઞાન’ નથી સમજતા, તેય ભૂતકાળને નથી ઉથામતા. શાથી ભૂતકાળ ઉથામવો નહીં ? કે જેનો ઉપાય નહીં, તેનો સંકલ્પ નહીં. ભૂતકાળ એટલે ઉપાય વગરની વાત. એટલે આપણે શું કહીએ છીએ કે જ્ઞાન મળ્યું છે માટે ભૂતકાળને ઉથામશો નહીં. ભૂતકાળને મૂર્ખોયે ઉથામતો નથી, તો તમને તો આ ‘જ્ઞાન’ મળ્યું છે અને ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત’ના તાબામાં સોંપ્યો છે. એટલે વર્તમાનમાં રહો. વ્યવસ્થિત ઉપર તો તમને ખાતરી થઈ ગઈ (પા.૨૯૦)છે ને ? તો પછી ભવિષ્યકાળ માટે તમને કશું કરવાનું રહ્યું નહીં. અને આ ભૂતકાળ જે તમે ઉથામો છો તે તમારી પાછળની ફાઈલોનો નિકાલ કરો છો એટલે એને કંઈ ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય. પ્રશ્નકર્તા : હા, હવે એ બરોબર છે. દાદાશ્રી : આ બીજા માણસોના અમથા અમથા બીજી બાબતોમાં ભૂતકાળ ઉથામે. ફાઈલોનો નિકાલ કરવા માટે તો ભૂતકાળ ઉથામવો જ પડે. કારણ કે દુકાન આપણે કાઢી નાખવી છે એટલે હવે આપણે શું કરવાનું ? ભરેલો માલ વેચવાનો અને નવો માલ લેવાનો નહીં. છતાંય પાછો એટલો વિવેક રાખવો પડે કે અમુક માલ વેચાતો ના હોય તો, ખાંડ ખલાસ થઈ ગઈ હોય તો બીજી નવી લાવવી પડે પાછી, એટલે વિવેકપૂર્વક આ દુકાન ખાલી કરવાની છે. પ્રશ્નકર્તા : જો ભૂતકાળને ઉથામશે નહીં કહીએ તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર શી રહી ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરે છે તેને ભૂતકાળનો વાંધો નથી. પ્રતિક્રમણ એ તો આપણે અતિક્રમણને કાઢીને એનો નિકાલ કરીએ છીએ. ભૂતકાળ ઉથામવો નહીં એટલે શું કે પરમ દા’ડે કો’કની જોડે લઢવાડ થઈ હોય તે મનમાં અંદર રાખી મૂકીએ. બાકી પ્રતિક્રમણ કરવા માટે યાદ આવતું હોય તો તેનો વાંધો નથી. પણ મનમાં રાખી મૂકીએ નહીં, એને આપણે બોજારૂપ સમજીએ. એવું આપણે ના કરવું. ભૂતકાળ ઉથામવો એટલે ભૂતકાળની વાત આજે સંભારીને કોઈ માણસ રડે તે. પરમ દા’ડે એકનો એક છોકરો મરી ગયો હોય તેને સંભારીને આજે રડે તેને ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય ? પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને ? અને એ પ્રતિક્રમણ તો ભૂતકાળમાં થઈ ગયેલાના જ થાય ને ? ભવિષ્યકાળને માટે પ્રત્યાખ્યાન હોય. પ્રત્યાખ્યાન ભલે થાય કે આમ બધું કરવું પડે. પણ ભવિષ્યકાળ બધો વ્યવસ્થિતના તાબામાં સોંપો છો. પછી તમારે વર્તમાનમાં રહેવું જોઈએ. બસ આટલું જ આપણું વિજ્ઞાન કહે છે, ‘વર્તમાન વર્તે સદા (પા.૨૯૧)સો જ્ઞાની જગમાંહી.’ એટલે આ ‘જ્ઞાન’ પછી તમારે નિરંતર વર્તમાન જ હોવો જોઈએ. જે વખતે જે સંયોગ હોય ત્યાં વર્તમાનમાં જ રહેવું, એક ક્ષણ પણ વર્તમાન ન જાય, ‘અમે’ નિરંતર વર્તમાનમાં જ હોઈએ. ‘અમે’ અમારા સ્વરૂપમાં રહીએ અને આ ‘પટેલ’ વર્તમાનમાં રહે નિરંતર !!! પ્રતિક્રમણ કરવા માટે તો ભૂતકાળને સંભારવો પડે. પ્રતિક્રમણ તો જેટલાં કંઈ આપણે ભૂલી ગયા હોઈએ તેને બોલાવીને, આજે પાછું એનું અતિક્રમણ થયું હોય તો તેને સંભારીને કરવું પડે. તે તો ચાલે જ નહીં ને ? આ પ્રતિક્રમણનો મુખ્ય માર્ગ છે આપણો ! અને ‘જ્ઞાન’ લીધા પછી, આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પણ આ અક્રમ માર્ગ એટલે કર્મો ખપાવ્યા સિવાય આત્મા પ્રાપ્ત કર્યો છે. ટેટા તો ફૂટ્યા જ કરવાનાપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તે ટાઈમે જ અતિક્રમણ થાય તો શું કરવું ? દાદાશ્રી : પછી થોડીવાર પછી કરવું. આપણે દારૂખાનું હોલવવા ગયા ત્યાં ફરી એક ટેટો ફૂટ્યો તો આપણે ફરી જવું. પાછા થોડીવાર પછી હોલવવું. એ તો ટેટા ફૂટ્યા જ કરવાના, એનું નામ સંસાર. પ્રતિક્રમણ કરતાં કરતાં અતિક્રમણોપ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે આ પ્રતિક્રમણ કરવા બેઠા, તો પ્રતિક્રમણ કરતાં કરતાં ડબલ અતિક્રમણ થાય, એના દોષ વધારે જોશથી દેખાવા માંડે, તો પ્રતિક્રમણ બાજુએ રહે અને ડબલ અતિક્રમણ ચાલુ થઈ જાય તો એ કઈ જાતનો કર્મનો ઉદય છે ? દાદાશ્રી : એ તો થઈ જાય તો આપણે બંધ કરી દઈએ અને ફરી જોવું, બંધ કરીને ફરી પાછું આપણું ચાલું કરવું. કેટલાકને થોડા પ્રતિક્રમણ કરવાથી ચોપડો ચોખ્ખો થાય. કેટલાકને (પા.૨૯૨)બહુ પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ચોપડો ચોખ્ખો થાય. કારણ કે ચોપડો બહુ ચીતરેલો હોય ! પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો, વારંવાર પ્રતિક્રમણ કરવાં ? દાદાશ્રી : બસ, એ જ પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : એટલે જે આવું અતિક્રમણ ચાલુ થઈ જાય, પ્રતિક્રમણ કરતાં કરતાં, એ ચીકાશ જે પકડી લે તો એમાં ભૂલ તો નથી થતીને ? દાદાશ્રી : ના, તે ઘડીએ બંધ કરી દેવું આપણે. આ જેમ દૂધપાકને આપણે ઊકાળવો તો છે જ, તે ઊકળતાં ઊકળતાં ઊભરાય એટલે લાકડાં જરા બહાર ખેંચી લેવાં, વળી પાછું ફરીવાર લાકડાં ઘાલવાં. અને તે ઘડીએ બંધ ન થાય તો એમ કહેવું કે એ તો મહાન ઉપકારી છે, આવા ફરી પાછા આવા લોચામાં ક્યાં પડે છે ? એ તો મહાન ઉપકારી છે. પ્રશ્નકર્તા : મહાન ઉપકારી કહેવાથી થોડીકવાર શાંત રહે છે, પણ પાછા જરા છેટા પડીએ કે ચઢી બેસે છે. દાદાશ્રી : પણ તોય પછી વધારે ચીકણા નહીં થાય, આય અજાયબી છેને ! આ આટલું રાગે પડ્યું છે એ જ સારું છેને ! જબરદસ્ત કષાય છે અને ચોપડો બહુ છે, પાર વગરનો. એ શું પ્રતિક્રમણ કે અતિક્રમણ ?પ્રશ્નકર્તા : મને એક વ્યક્તિ જોડે પ્રતિક્રમણ બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલે. મારું પાર જ નથી પડતું. ત્યારે હું એટલો થાકી જાઉં છું કે બેહદ થાકી જાઉં છું ત્યારે મને એમ થાય છે કે મૂક લપ, આ પ્રતિક્રમણ જ નહીં જોઈએ આપણને. આ તે પ્રતિક્રમણ છે કે અતિક્રમણ છે એવું થાય છે. પણ એટલું છે એના પછી શાંતિ મેળવી શકાય છે. દાદાશ્રી : પ્રતિક્રમણ કરો કે જબરજસ્ત શાંતિ થાય. ચાખી ના હોય એવી શાંતિ ઉત્પન્ન થાય. (પા.૨૯૩)પ્રશ્નકર્તા : પણ આવું ત્રણ દહાડા સુધી એકનું જ પ્રતિક્રમણ ચાલે તો શું કરવું ? દાદાશ્રી : એ ગૂંચાયેલું વધારે. ચોપડા મોટા વધારે એટલે. આવડા મોટા ચોપડાવાળા ફરે જ નહીં, પણ ફર્યા છે તે અજાયબી જ છેને ! પ્રશ્નકર્તા : બસ એટલું જાણવું છે કે આ હું ખોટે રસ્તે તો નથીને ? દાદાશ્રી : ના, તમે તો ખોટે રસ્તે ક્યાં આવ્યા છો ? તમે તો સેફસાઈડ રસ્તે છો. પ્રશ્નકર્તા : બસ અમને એટલી શક્તિ આપો. દાદાશ્રી : હા, એ શક્તિ અમે આપ્યા જ કરીએ છીએ. પણ હવે અહીં આવો ત્યારે વધારે થાય. મને ખાતરી થયેલી ને એટલે પછી એમનામાં ધ્યાન આપતો નથી. સેફસાઈડ નહોતી થઈ ત્યાં સુધી ધ્યાન રાખ્યું. હવે સેફસાઈડ ઉપર છે, જતે દહાડે કામ કાઢી લેશે. ધોવાનું, વેરની ચીકાશ પ્રમાણેપ્રશ્નકર્તા : આપણે કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું એ જ જીવ જોડે કેમ પ્રતિક્રમણ કરવાનું રહે ? દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવાનું છે, તો આવડો મોટો દોષ હતો, તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું, બીજાં બધાં લાખો પડ રહ્યાં. એનાં પડ ઉખડે છે એટલે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાનાં. કોઈ માણસ જોડે આપણે મહિના-બે મહિનાના પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય. હિસાબ ચૂકતે થઈ જાય. કોઈ માણસનો આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છેને, તેનું એ પડ ઊડી જાય આપણે આમ ‘એ’ કરીએ એટલે, પણ પાછું ડુંગળી ને ડુંગળી દેખાયને. (પા.૨૯૪)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવી રીતે આનાં પડ હોય છે બધાં. પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. દોષના એક પડનું એક જ વખત હોય. પોતે જ છૂટવાનું, સ્વબંધનથીઆ એક્સિડન્ટમાં એ બચે એવા નહોતા, તે બચી ગયા. પેલા એક્સિડન્ટમાં તો બચે, પણ કષાયના માર્ગે જે જબરજસ્ત એક્સિડન્ટ થાય, તેમાં બચી ગયા અને કષાય માર્ગથી રહિત થઈ ગયા. પ્રશ્નકર્તા : અને હું આ કષાય માર્ગે જઈશ તો એક્સિડન્ટ અવશ્ય થશે એવું એને ફીટ થઈ ગયું છે. દાદાશ્રી : અવશ્ય થશે એવું ફીટ થઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે પોતે પ્રતિક્રમણ કર્યા કરે. તો પોતાનો નિવેડો આવે. એમને એમ થાય કે આ ભાઈઓ છે, બીજી બધી વ્યક્તિઓ છે, એ બધાને જેટલું પોતાને મહીં ઊંધું ઊભું થાય એવું પેલા લોકોને પણ મહીં થાય કે, આને સપડાવો બરોબર, તો હવે હું પ્રતિક્રમણ કર્યા કરીશ તો પછી પેલા લોકોની જે મારે માટે આંટી છે એનું શું થાય ? એટલે મને પાછો બંધમાં નાખશે ? દાદાશ્રી : ના, તમે તમારા બંધથી છૂટી જાવ. એ એના બંધથી છૂટશે. નહીં તો એ બંધાયેલું ને બંધાયેલું રહેશે. આ તો ન્યાય છે, ભગવાન મહાવીરનો ન્યાય. નહીં તો ભગવાન મહાવીર છૂટત જ નહીંને ! કોઈને કોઈ બંધ રહી જ જાય ને ભગવાન મહાવીરેય છૂટત નહીં. તમે જ્યાં જ્યાં બંધાયેલા ત્યાંથી છૂટી જાવ. પ્રશ્નકર્તા : એટલે પોતે પોતાનું છોડી નાખવાનું. પોતે પ્રતિક્રમણથી પોતાનાં બંધનો છોડી નાખવાનાં ? દાદાશ્રી : છોડી નાખવાનાં. (પા.૨૯૫)વેરવી પ્રત્યે ન અવળો એક વિચારએ વાંકું કરે, અપમાન કરે તોય અમે રક્ષણ મૂકીએ. એક ભાઈ મારી જોડે સામા થઈ ગયેલા. મેં બધાને કહ્યું, એક અક્ષર અવળો વિચારવો નહીં. અને અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરજો. એ સારા માણસ છે પણ એ લોકો શેના આધીન છે ? કષાયના આધીન છે, આત્માના આધીન નથી આ. આત્માના આધીન જ હોય તે આવું સામું બોલે નહીં. એટલે કષાયના આધીન થયેલો માણસ કોઈપણ જાતનો ગુનો કરે તે માફ કરવા જેવો. એ પોતાના આધીન જ નથી બિચારો ! એ કષાય કરે તે ઘડીએ આપણે દોરો શાંત મૂકી દેવો જોઈએ. નહીં તો, તે ઘડીએ બધું ઊંધું જ કરી નાખે. કષાયને આધીન એટલે ઉદયકર્મને આધીન. જે ઉદય આવ્યો, એવું ફરે. સમત્વયોગ, પાર્શ્વનાથનોપ્રશ્નકર્તા : હવે વાત કેવી રીતે નીકળી’તી કે પાર્શ્વનાથ ભગવાનને તો ખબરેય નહોતી અને પેલાએ વેર બાંધ્યું અને એ વેરમાં પેલા હંમેશાં આની જોડે ભેગા થાય, એટલે કંઈને કંઈ આનું નુકસાન કર્યા કરે, તો કહે, આવું બને ને ? પોતાને ખબરેય ના હોય, પેલો વેર બાંધ્યા કરતો હોય અને પછી એ દસ ભવ સુધી ચાલ્યું. દાદાશ્રી : એ તો જેટલું નુકસાન કર્યું હોય એટલું કરે. માટે હજુ નુકસાન કરશો નહીં કોઈને. પ્રશ્નકર્તા : એમાં પાર્શ્વનાથ ભગવાનને ખબરેય નહોતી ને ? દાદાશ્રી : એ બધાને ખબર કેવી રીતે હોય તે ? એ શેનું ફળ આપે છે ? એટલે આપણું આપેલું તે જ આપે છે એ નક્કી છે. પાર્શ્વનાથ ભગવાનને એટલી તો ખબર પડે ને કે મારું આપેલું છે તે જ આપે છે એ લોકો. તેની મહીં ઉશ્કેરાટ વધતો જાય, એટલે ટાઈમ વધતો જાય, મુદત પૂરી થવામાં. પાર્શ્વનાથ ભગવાનને ઉશ્કેરાટ વધ્યો નથી એટલે દસ અવતારમાં (પા.૨૯૬)પૂરું થયું. પ્રશ્નકર્તા : તોય પણ દસ અવતાર સુધી ચાલ્યું એટલે કંઈ ઓછું કહેવાય ? દાદાશ્રી : આ દસ અવતાર છે એ કેટલા અવતારના આધારે દસ અવતાર છે. એ જાણું છું તું ? પ્રશ્નકર્તા : એ કશી ખબર નહીં. દાદાશ્રી : આ એક વાળ બરાબર. દસ અવતાર એક વાળેય નહીં. પ્રશ્નકર્તા : ઓહો ! અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે દરેક અવતારમાં પેલી સમતા રાખ્યા જ કરી’તી. દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલા બે-ત્રણ અવતાર સુધી જરા કાચું પડી જાય, ચિઢાઈ જાય, એટલે થોડું વધતું જાય. એકદમ સમતા રહે એવું આ જગત નથી. જ્ઞાનીઓથી ના રહે. આ તો ‘અક્રમ વિજ્ઞાન’ જુદી જાતનું છે, તેથી રહી શકે. (પા.૨૯૭)[17] વારણ, ‘મૂળ’ કારણ અભિપ્રાયનુંએક અવતારનાં જ પ્રતિક્રમણોપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં જે કહ્યાં છે, તે ડગલે ને પગલે, રાતદિન, નિરંતર પ્રતિક્રમણ કરે, તો એક અવતારના દોષોનાં જ પ્રતિક્રમણ કરવાનાં છેને ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું કે આપણો અભિપ્રાય ન હોવો જોઈએ. પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો ‘ચેન્જ’ (બદલાયો) છે. આપણો અભિપ્રાય હવે રહ્યો નથી. કોઇ ખોટું કાર્ય થયું, એ કાર્યમાં જે આપણો અભિપ્રાય હતો કે આ બરોબર છે, એ બરોબરપણું છોડવા માટે પ્રતિક્રમણ કરવાનું છે કે અમે આની માફી માગીએ છીએ. ને હવે ફરી નહીં કરીએ. એટલે પ્રતિક્રમણ, અભિપ્રાય છોડવા માટે જ છે ખાલી ! પ્રશ્નકર્તા : પણ તમે મળ્યા ત્યારથી અભિપ્રાય તો છૂટ્યા જ હોય છે. દાદાશ્રી : એ બરોબર છે, પણ તોય છે તે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : કોઈ પૂર્વગ્રહ અથવા તો અભિપ્રાય બહુ કઠણ હોય, તેને વારંવાર પ્રતિક્રમણ કરવાથી ધોવાઈ જાય ? દાદાશ્રી : હા, ધોવાઈ જાય. પ્રશ્નકર્તા : એ જેટલીવાર અભિપ્રાય કે પૂર્વગ્રહ ઊભો થતો હોય (પા.૨૯૮)એટલીવાર એનું પ્રતિક્રમણ કર્યા કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કર કર કરે ને એટલે ધોવાઈ જાય બધું. પૂર્વગ્રહ કેમ થાય છે ? ત્યારે કહે, ‘એને જ ચોપડ ચોપડ કર્યું.’ અતિક્રમણ કર કર કર્યા. એટલે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. અતિક્રમણ કર્યું, એને ચોપડ ચોપડ એને જ કર્યું તે પૂર્વગ્રહ ઊભો થઈ જાય. આટલાં બધાં માણસો છે ને અહીં ક્યાંથી આ જ જડ્યો ? ચોરને ક્ષમા અપાય પણ સંગ ન રખાયઆપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુલાલને કહેવું કે, ‘હે ચંદુલાલ ! પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો. સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ, હવે ઠેકાણે આવ્યું ! મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડે ઓછી ભાંજગડ કરી નાખવી. પણ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દસ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા, હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે. પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો ના જોઈએ. જે બને તે ખરું એમ રાખવું. અમોઘ શસ્ત્ર, અભિપ્રાયો સામેપ્રશ્નકર્તા : છતાં અવળો અભિપ્રાય બંધાઈ જાય તો શું કરવું ? (પા.૨૯૯)દાદાશ્રી : બંધાઈ જાય તો માફી માંગવાની. જેના માટે અવળો અભિપ્રાય બંધાઈ ગયો એના એ જ માણસની માફી માંગવાની. પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય આપવો કે નહીં ? દાદાશ્રી : કોઈ અભિપ્રાય જ આપવો નહીં. અને એ અપાઈ જાયને, તે પછી ભૂંસી નાખવું આપણે. તમારી પાસે ભૂંસી નાખવાનું સાધન છે, અમોઘ શસ્ત્ર છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનું ‘અમોઘ શસ્ત્ર’. પ્રશ્નકર્તા : જ્યાં આગળ આપણને રાગ-દ્વેષ ના હોય, કંઈ સ્વાર્થ ના હોય, કોઈ વ્યક્તિને સ્પર્શતું ના હોય, એવું બિનઅંગત અભિપ્રાય આપ્યા હોય એનું પ્રતિક્રમણ કરવાની જરૂર ખરી ? દાદાશ્રી : બિનઅંગત અભિપ્રાય આપવાની જરૂર જ નહીં. અને આપવા હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે. એ અંગત હો કે બિનઅંગત હો, તમારા હાથમાં અભિપ્રાય આપવાનો કોઈ રાઈટ (અધિકાર) જ નથી. એ પોતાનો સ્વચ્છંદ છે એટલે એમાં આપણે પોતાની મેળે જરાક ભૂંસી નાખવો જોઈએ. પ્રશ્નકર્તા : દાખલા તરીકે હિટલરે સમાજનું બહુ અહિત કર્યું એવો આપણો અભિપ્રાય આપીએ તો એમાં તો ક્યાં કશું ખોટું છે ? દાદાશ્રી : આપણે હાથ જ ના ઘાલવો જોઈએ. લેવાદેવા વગરનો હાથ ઘાલવો નહીં. હિટલર જોડે આપણને લેવાય નહીં ને દેવાય નહીં. અને છતાંય બોલી જવાય એ વ્યવસ્થિત. તો પછી એને આપણે ધોઈ નાખવાનું. શબ્દ તો બોલી જવાય. એ તો અમેય બોલીએ કે ભઈ, રોટલી સરસ છે, કેરી સારી છે. એવું બોલીએ પણ ધોઈ નાખીએ પછી. અમે કોઈ કારણસર કો’કને હેલ્પ કરીએ માટે કહીએ કે સારું બનાવ્યું છે. તો પછી અમે ધોઈ નાખીએ. જેટલો અભિપ્રાય આપ્યો ને તરત ધોઈ નાખીએ. ધોવાનું સાધન આવી ગયુંને ? પ્રશ્નકર્તા : એ કયું સાધન ધોવાનું ? (પા.૩૦૦)દાદાશ્રી : પ્રતિક્રમણ. પ્રતિક્રમણથી પલટાય અભિપ્રાયતમે સામાના જેટલા ગુણ જુઓ અને આપણો એના પર અભિપ્રાય બેઠો કે આ ગુણ તો ઉત્તમ છે. એટલે પોતાનામાં એ ગુણો ઉત્પન્ન થાય. અભિપ્રાય ફરવો જોઈએ. સામાનો દોષ કાઢીએ કે તરત આપણામાં દોષ ઊભો થઈ જાય. પ્રશ્નકર્તા : કોઈનામાં ભૂલચૂકથી ય દોષ જોવાઈ જાય કે તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. પછી માથાકૂટ નહીં. દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરી નાખવું. એના જેવો ઉપાય જ નહીં એકુય ! આપણને આ ચંદુભાઈ માટે ખરાબ વિચાર આવતો હોય તો તમારા મોઢા પર તેની અસર રહે. તે ચંદુભાઈ એ ભાવો વાંચી જાય. તો એના માટે શું કરવું કે ‘ચંદુભાઈ મારા બહુ ઉપકારી છે, ઉપકારી છે’ એમ કહેવું. આમ ગાઢ અભિપ્રાય કઢાયપ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ? દાદાશ્રી : જ્યારથી નક્કી કર્યું કે કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્ત થયા પછી, પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે. પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એનાં પ્રતિક્રમણ કરવાં. તમે ઓપીનિયન (અભિપ્રાય) આપો છો હવે ? પ્રશ્નકર્તા : ના, બિલકુલ નહીં હવે. દાદાશ્રી : તો બસ, નિવેડો આવી ગયો. (પા.૩૦૧)ચેતો, અભિપ્રાય સામેઅભિપ્રાય ના બંધાય એટલું જરા જોવું. મોટામાં મોટું સાચવવાનું છે અભિપ્રાયનું. બીજું કશું વાંધો નથી. કોઈકનું જોતા પહેલાં જ અભિપ્રાય બંધાય, આ સંસાર જાગૃતિ એટલી બધી કે અભિપ્રાય બંધાઈ જાય. એટલે અભિપ્રાય બંધાઈ જાય કે આપણે છોડી નાખવો. અભિપ્રાય માટે બહુ સાવચેત રહેવાની જરૂર છે. એટલે અભિપ્રાય બંધાશે તો ખરા, પણ બંધાય તો આપણે તરત છોડી નાખવો. અભિપ્રાય પ્રકૃતિ બાંધે છે. ને પ્રજ્ઞાશક્તિ અભિપ્રાય છોડયા કરે છે. પ્રકૃતિ અભિપ્રાય બાંધ્યા કરવાની, અમુક ટાઈમ સુધી બાંધ બાંધ જ કરશે, પણ આપણે એને છોડ છોડ કરવાં. અભિપ્રાય બંધાયા તેની તો આ બધી ભાંજગડ થઈ છે. અમારે અભિપ્રાય બંધાયેલો હોય ને કે, આ ભાઈ એટલે આવા છે, એટલે એ ભાઈ અહીં આવે ત્યારે અમારું મન એ ફેરફારવાળું દેખે, અમારામાં એને સમતા ના દેખાય, તો મને જોતાં પહેલાં એ સમજી જાય કે દાદાનામાં કંઈ ફેર લાગે છે. એટલે અભિપ્રાયની બધી આવી અસરો થાય. અને અભિપ્રાય છોડી દીધો કે કશું નથી. અમારે કોઈની ઉપર અભિપ્રાય નહીં એટલે અમને નિરંતર સમતા રહે. પ્રકૃતિ છે એટલે અભિપ્રાય બંધાઈ તો જવાના, નિરંતર બંધાયા કરવાના. પણ બંધાય પછી આપણે બેઠા બેઠા અભિપ્રાય છોડ છોડ કરવાના. પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવા કેવી રીતે ? દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે ‘આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય ?’ એવું કહીએ તે અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે ‘આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? આ તે તમે કેવું કરો છો ?’ એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય. (પા.૩૦૨)ગુણાકાર થતાં જ કરો ભાગાકારએવું છે, કે કોઈ રકમને સાતે ગુણી હોય તે સાતે જ ભાગવી પડે તો તેની તે જ રકમ થઈ જાય. આપણે રકમ તેની તે જ રાખવી છે ને ? આપણે જાણીએ છીએ કે આ કઈ રકમે ગુણાઈ ગયું છે, તેટલી રકમે આપણે ભાગવું. આપણને ખબર પડે કે અહીં આગળ તો બહુ ભારે રકમથી ગુણાકાર થઈ ગયો છે, તો આપણે ભારે રકમથી ભાગી નાખવું, એટલે ગુણાકાર તો થયા જ કરે, પણ ભાગાકારનું આપણી પાસે હથિયાર છે. આપણે પુરુષ થયા છીએ, અને પુરુષાર્થ આપણો ધર્મ છે ! સામો પેલો દેખાયો ને કે અભિપ્રાય તો અપાયા વગર રહેવાનું નથી, એટલે અભિપ્રાય બંધાઈ જાય તો તરત ‘આ તો ખરાબ કહેવાય, આવું શેને માટે ?’ એટલે એવી રીતે આપણે ભાગી નાખો કે છૂટું થઈ ગયું. બાકી, અભિપ્રાય તો બંધાઈ જ જવાના. અને અભિપ્રાય બંધાઈ જાય એટલે એ ફળ આપે, એનું ફળ આપીને જ જાય. પ્રશ્નકર્તા : એનું ફળ આપીને જાય એટલે વેદના આપીને જાય ? દાદાશ્રી : ફળ આપે એટલે શું, કે તમે કોઈને માટે અભિપ્રાય બાંધોને તો પેલાનાં મન પર આવી અસર કુદરતી રીતે જ થયા કરે છે. એટલે પેલાય સમજી જાય કે આમને મારે માટે આવું છે. પણ જો આપણે એ અભિપ્રાય ભાંગી નાખીએ તો પછી પોતાના મન પર એની અસર ના થાય. અભિપ્રાય પડ્યો કે તરતને તરત સાતે ભાગી નાખીએ તો ત્યાં અસર પડતાં પહેલાં ભાંગી જાય. નહીં તો કોઈ પણ વસ્તુ નકામી જતી નથી અને તેની અસર આવ્યા વગર રહેતી જ ના હોય. અમારી જોડે બધાનું જુદી જુદી જાતનું વર્તન હોય પણ અમારે અભિપ્રાય ના હોય. અમે જાણીએ કે આ તો આવું જ હોય. કળિયુગમાં સાસુ આવી જ હોય, એવું વહુ જાણતી હોયને ? કે ના જાણતી હોય ? એટલે એમાં શું અભિપ્રાય બાંધવાનો ? કળિયુગ છે એટલે આવું જ હોય. એવું છે, ગમતી વસ્તુ ભેગી થાય એનું નામ પુણ્યૈ અને ના ગમતી વસ્તુ ભેગી થાય એનું નામ પાપ ! એટલે પાપના ઉદય હોય (પા.૩૦૩)ત્યારે આપણને ના ગમતી વસ્તુ ભેગી થઈ જાય, ના ગમતા સંયોગો મળતા આવે, એમાં ઉદય કોનો ? પાપનો. હવે એ કડવાશ આપે, પણ લાંબું ના ચાલે પણ જો એમાં સાસુ માટે અભિપ્રાય બંધાયો તો પેલા ઉપર એની અસર થાય ને લાંબું ચાલ્યા કરે. માટે કોઈના માટે અભિપ્રાય તો બાંધવો જ નહીં. કારણ કે એ આત્મા જ છે, તો પછી એને માટે અભિપ્રાય બંધાય જ કેમ ? એ આત્મા જ છે, માટે બહારનું કશું જોશો જ નહીં. છૂટવાનું વસ્તુથી નહીં પણ અભિપ્રાયથીપ્રશ્નકર્તા : સમજણમાં તો બધું બહુય છે, પણ એ પ્રમાણે નથી થતું એનું શું ? દાદાશ્રી : એ ના થાય એનો વાંધો નથી. સમજણની જ જરૂર છે. સમજણ એટલે અભિપ્રાય જુદો થયો ત્યાંથી એ છૂટ્યો એનાથી. કોઈ પણ ખરાબ કાર્ય ચંદુભાઈ કરતા હોય અને એ કહે કે મારે આ કામ નથી જોઈતું, કરવું નથી. ત્યાંથી અભિપ્રાય જુદો થયો. અને એ અભિપ્રાય કાયમ રહે તો એ છૂટો જ પડે. અભિપ્રાયથી જ મુક્ત કરવાનું છે, વસ્તુથી મુક્ત કરવાનું નથી. વસ્તુ તો એની મેળે મુક્ત થાય ત્યારે ખરું. પણ એને નિરાધાર બનાવી દેવાનું છે. એટલે અભિપ્રાયથી મુક્ત થવાનું છે. એથી આપણે પ્રતિક્રમણ મૂક્યુંને ! પ્રતિક્રમણ એટલે અભિપ્રાયથી મુક્ત થઈ ગયો. એનું સચોટ, પ્રતિક્રમણ કરે, એટલે અભિપ્રાયથી મુક્ત થયો અને હવે પસ્તાવોય કરું છું. પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો. આ પ્રતિક્રમણ કરો એટલે પેલો અભિપ્રાય તૂટી ગયો. અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. જો મને કોઈ પણ માણસ ઉપર સહેજે મારો અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગાનુસાર ચોરી કરે અને હું જાતે જોઉં તોય એને ચોર હું કહું નહીં. કારણ કે સંજોગાનુસાર છે. જગતના લોકો (પા.૩૦૪)શું કહે છે કે જે પકડાયો એને ચોર કહે છે. સંજોગાનુસાર હતો કે કેમ ? કે કાયમ ચોર હતો ? એવું જગતનાં લોકોને કંઈ પડેલી નથી. હું તો કાયમ ચોરને ચોર કહું છું. અને સંજોગાનુસારને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય જ બદલતો નથી. કોઈપણ માણસનો મેં અત્યાર સુધી બદલ્યો નથી. ‘એનાથી’ તૂટે સહમતીપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અભિપ્રાય ઊભા થાય છે એનાં જ કર કર કરવાં પડે છે ને હવે ? દાદાશ્રી : એ અભિપ્રાય ઊભો થયો એ પહેલાંના હિસાબથી થયો છે. હવે પ્રતિક્રમણ કરીએ તો ફરી અમે અભિપ્રાય બાંધતા નથી એવું આમાં, આ વાતમાં અમે સહમત નથી, તે વખતે છૂટયો. પહેલાંનો બંધાયેલો અભિપ્રાય આ વખતે છૂટ્યો. અને એવું સમજાય એટલે કશું ડખલ રહે નહીં. તમારે ભૂલનું પ્રોટેક્શન (રક્ષણ) થતું હોય તે સુધારી લેવાનું. હા, બીજું કશું છે નહીં. ભૂલ થઈ, કોઈકને નુકસાન થાય એવું થયું તો પ્રતિક્રમણ કરી લીધું એટલે થઈ ગયું. એનો નિવેડો આવ્યો. પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય છે ? આ જે ભૂલ થઈ રહી છે એમાં હું સહમત નથી. એ પ્રતિક્રમણ ઈટસેલ્ફ પ્રુવ (જાતે જ સાબિત) કરે છે આ, કે એમાં હું સહમત નથી. પહેલાં એ દોષમાં સહમત હતો કે આવું જ કરવું જોઈએ. હવે એમાં સહમત નથી. અભિપ્રાય ફર્યા એટલે થઈ રહ્યું. આ જગત અભિપ્રાયથી ઊભું રહ્યું છે. ખ્યાલ તો ખપે તુર્ત જતારે તો બધું સહમત થઈને ચાલે છેને ? સહમત સાથે ચાલું છું ? પ્રશ્નકર્તા : આજનો અભિપ્રાય જુદો પડી જાય. દાદાશ્રી : આજનો અભિપ્રાય તારે ક્યાં જુદો પડે છે, ત્યાં આગળ પેલા ભાઈ જોડે તું બાઝયો’તોને ! (પા.૩૦૫)પ્રશ્નકર્તા : પછી પાછળથી અભિપ્રાય જુદો પડ્યો. દાદાશ્રી : પણ કેટલા વખત પછી ? છ-આઠ મહિના સુધી અજાગૃતિ ? જાગૃતિ એક કલાક-બે કલાકમાં આવી જવી જોઈએ. પણ માલ એવો કચરો ભરેલો છે. મારું કહેવાનું કે કેટલો બધો કચરો ભરેલો છે, તને નથી લાગતું એવું ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : કેટલા કલાકમાં ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું છે ? પ્રશ્નકર્તા : બે કલાકમાં ! દાદાશ્રી : બે કલાક-ચાર કલાક કે બાર કલાકેય પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું થયું અને તે અમે તમને બોલીએ તોય પણ તમને ખ્યાલ ના આવે. હજુય કેટલીક બાબતમાં થાય છે પણ તમને ખબર ના પડે. મને ખબર પડી જાય કે આ વાંકા ચાલ્યા. અમને ખબર પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : પડેને. દાદાશ્રી : છતાં ચાલવા દઈએ. પણ પાછું અમે જાણીએ કે હમણે રાગે આવી જશે. હિંસક ભાવનો ખપે સંપૂર્ણ અભાવને આ સંસાર તો વધારે સમજવા જેવો છે, અમે બોલીએ છીએ ને, જોડે જોડે આ અભિપ્રાય બેઉ જુદેજુદા રહે છે. બન્નેય અભિપ્રાય સાથે જ ચાલે છે. આપણને હિંસક ભાવ તો હોવો જ ના જોઈએ. એક માણસ આપણને મારી નાખે તોય એ ખોટો છે, એવું ના હોય. પ્રશ્નકર્તા : એ ખોટો છે એમ હોવું જ ના જોઈએ. (પા.૩૦૬)દાદાશ્રી : એ મારી નાખતો હોય તોય આપણે ‘આણે મારી હિંસા કરી છે’ એમ ના કહેવાય. મારું ઉદયકર્મ અને એનું ઉદયકર્મ, બન્નેનું ઉદયકર્મ સામસામે લડે છે આ. હું જાણનાર છું, એય જાણનાર છે. ભલે એ જાણનાર રહેતો ના હોય, એણે દારૂ પીધો હોય, તોય મારે લેવાદેવા નથી પણ હું તો જાણનાર છું. પુદ્ગલ પરમાણુઓ શું કહે છે ?બહુ જાગૃત હોય તેને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ જેને જાગૃતિ જરા ઓછી છે તેને પ્રતિક્રમણ કરવાનાં કહીએ છીએ. પ્રશ્નકર્તા : જાગૃતિ ઓછી હોય તો પ્રતિક્રમણ કરવું જ પડે ? દાદાશ્રી : હા, એટલે અભિપ્રાય ફેરવવા માટે કે ‘આ અભિપ્રાય મારો નથી.’ અમે આ અભિપ્રાયમાં નથી. અભિપ્રાયથી બંધાયા હતા. હવે એ અભિપ્રાય અમે છોડી દીધો. એના વિરુદ્ધ આપણે અભિપ્રાય ધરાવીએ છીએ. કોઈને ગાળ દેવી, કોઈને દુઃખ દેવું એ અભિપ્રાય અમારો નથી. ગુસ્સો કર્યો તે અમારો અભિપ્રાય હવે અમારો નથી. એટલે આપણે એને શુદ્ધ કરીને પરમાણુ કાઢ્યા. શુદ્ધ કર્યું એટલે પરમાણુ પછી વિશ્રસા થઈ જાય છે. સંવર રહે છે, બંધ થતો નથી ને વિશ્રસા થાય છે. જો કે વિશ્રસા તો જીવ માત્રને થાય છે, પણ એમને બંધ પાડીને વિશ્રસા થાય છે. જ્યારે અહીં બંધ પડ્યા સિવાય વિશ્રસા થાય છે. આપણે શુદ્ધ થયા અને ચંદુભાઈને શુદ્ધ કરવો એ આપણી ફરજ. એ પુદ્ગલ શું કહે છે કે ભઈ, અમે ચોખ્ખા જ હતા. તમે અમને ભાવ કરીને બગાડ્યા, અને આ સ્થિતિએ અમને બગાડ્યા. નહીં તો અમારામાં લોહી, પરુ, હાડકાં કશું જ નહોતું. અમે ચોખ્ખા હતા. તમે અમને બગાડ્યા. માટે અમને તમારે જો મુક્તિમાં રાખવા હોય, મોક્ષે જવું હોય તો તમે એકલા જ શુદ્ધ થઈ ગયા એટલે દહાડો વળશે નહીં. અમને શુદ્ધ કરશો તો જ તમારો છુટકારો થશે. તમને સમજ પડીને ? (પા.૩૦૭)પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : એટલે આપણે શું આજ્ઞા કરી ? કે આ સમભાવે નિકાલ કરવો. હા, અને શુદ્ધ જ જુઓ. અને છે તે કોઈને ના ગમે એવું હોય, એવું મહીંથી થઈ ગયું હોય, ચંદુભાઈ થકી, તો એણે અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરો. એટલે એના અભિપ્રાયની વિરુદ્ધ છીએ, એવું કહેવા માગીએ છીએ. અભિપ્રાય અમે ફેરવ્યો. પહેલાંના અભિપ્રાયમાં અમે નથી હવે. અભિપ્રાય ફર્યો કે એ ચોખ્ખા થઈ ગયા. અભિપ્રાય જો એનો એ જ રહ્યો તો પાછો મૂળ બગાડ રહ્યો. અભિપ્રાય ફેરવવા માટે છે આ ! એ દ્રષ્ટિથી છૂટે અભિપ્રાયપ્રશ્નકર્તા : એટલે સંપૂર્ણ અભિપ્રાય રહિત કેવી રીતે થવાય ? દાદાશ્રી : આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રીયલ વ્યૂ પોઈન્ટ એ ‘શુદ્ધાત્મા’ છે અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ ‘ચંદુભાઈ’ છે અને રિલેટિવ માત્ર કર્મના આધીન હોવાથી ‘ચંદુભાઈ’ પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો ‘એ’ દોષિત ગણાત. પણ ‘એ’ બિચારો ભમરડાની પેઠ છે. એટલે ‘એ’ નિર્દોષ છે. ‘આમ શુદ્ધાત્મા છે અને બહારનું નિર્દોષ છે.’ બોલો હવે, ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને ! ભયંકર કર્મબંધનોપ્રશ્નકર્તા : મનુષ્યને કર્મો રાતદિન એટલાં બધાં બંધાય છે કે એક અવતારના કર્મોની નિર્જરા થતાં અનંતકાળ લાગે, તો મનુષ્ય છૂટે ક્યારે ? દાદાશ્રી : કોણે કહ્યું આ ? આ તો લોકોને બંધાય, તમને (મહાત્માઓને) ક્યાં બંધાય છે ? પ્રશ્નકર્તા : હું લોકોની જ વાત કરું છું. (પા.૩૦૮)દાદાશ્રી : તે લોકોને તો એટલા બધા બંધાય છે, તે આ સાયકલ લઈને ફરે છે સવારનો સાત વાગ્યાનો, પ્લેનમાં ફરે તોય કર્મ પૂરાં નથી થતાં રાતે અગિયાર વાગ્યા સુધી. પ્રશ્નકર્તા : હવે એ લોકોની શું દશા થતી હશે ? કારણ કે એક દિવસનું કર્મ છે ને એક વર્ષમાંય પૂરાં ના થાય એટલાં કર્મ બંધાય છે. દાદાશ્રી : હા, તે એ કર્મ બંધાતાં બંધાતાં શું થશે ? કે આ મનુષ્યમાંથી પાંચ ઇન્દ્રિયો ખલાસ થશે ને ચારમાં જશે, ચારમાંથી ત્રણમાં જશે, ત્રણમાંથી બેમાં જઈ ને એક ઇન્દ્રિય જીવો થઈ જશે. એટલાં બધાં ભયંકર કર્મો બંધાઈ રહ્યાં છે. (પા.૩૦૯)[18] વિષય જીતે તે રાજાઓનો રાજા !અટકણથી છૂટવાનું હવેહવે મહીં બિલકુલ ‘ક્લિઅરન્સ’ (ચોખ્ખું) થઈ જવું જોઈએ. આ ‘અક્રમ જ્ઞાન’ મળ્યું ને પોતાને નિરંતર સુખમાં રહેવું હોય તો રહી શકાય એવું આપણી પાસે ‘જ્ઞાન’ છે. માટે હવે કેમ કરીને અટકણ છૂટે, કેમ કરીને એનાથી આપણે છૂટા થઈ જઈએ, એ ઉકેલ લાવવો જોઈએ. તે માટે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને પણ ઉકેલ લાવી નાખવાનો. પહેલાં સુખ ન હતું ત્યાં સુધી તો અટકણમાં જ માણસ પડેને ? પણ સુખ કાયમનું ઊભું થયા પછી શેને માટે ? સાચું સુખ શાથી ઉત્પન્ન થતું નથી ? તે આ અટકણને લઈને આવતું નથી ! ચેતો માત્ર વિષયની સામેપ્રશ્નકર્તા : હવે દાદા, સમજમાં આવે છે કે આપણે આ ખોટું કરીએ છીએ, તો પણ થઈ જાય છે. દાદાશ્રી : પછી પ્રતિક્રમણ થતાં નથી ? પ્રશ્નકર્તા : થાય છે પણ ચંદુભાઈ ખોટું કરે છે ત્યારે અટકી નથી જવાતું. પછી તરત પ્રતિક્રમણ થાય છે. પણ એક વાર તો એક સેકંડની અંદર બાજી ઊંધી વાળી નાખી દે. દાદાશ્રી : બધું ખોટું થાય છે તેનો વાંધો નથી. પણ એક આ વિષય એકલું જ છે તે એવી વસ્તુ છે કે આ આને બધું એ કરી નાખે (પા.૩૧૦)એવું છે. એટલે અમે ફક્ત વિષય સંબંધીનું એકલાનું ચેતતા રહેવાનું કહીએ છીએ. ભૂલો દહાડે દહાડે હજુ દેખાતી નથી. એનું કારણ શું છે કે ખોરાક બહુ ત્યારે નુકસાન કરે તો બે-ત્રણ કલાક સુધી પ્રમાદ ચઢી જાય, પછી ઉતરી જાય. પણ આ વિષયનો કેફ આખો દિવસ ચોવીસ કલાક રહે છે. એટલે એને ભૂલ દેખાતી જ નથી. એટલે વિષયથી નિવૃત્ત થાય, ત્યારે ભૂલ દેખાવાની શરૂઆત થશે. ખરી ભૂલો, મોટી ભૂલો, જેને સૂક્ષ્મ કહેવાય છે, એટલે આ એકલો જ આધાર નડે છે. જેને જેટલી ઉતાવળ હોય, એ પ્રમાણે પ્રતિક્રમણ કર્યા કરે. એમાં કોઈ એવું નથી કે આમ જ કરવું. આકર્ષણ અમુકનું જ શાને ?પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ છોકરા માટે ખરાબ વિચાર ના આવે, પણ મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો એવું દેખાયા કરે છે તો શું કરવું ? દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું ? તો આપણે જોયા કરવાનું. ફિલમમાં જુએ છે તેથી આપણને દુઃખ થાય ? એટલે દેખાય તો ખરો જ ને. મહીં ચોખ્ખું થાય એટલે વધારે દેખાય ઊલટું, પ્યૉર દેખાય. તે દેખાય એને આપણે જોયા કરવાનું પ્રતિક્રમણ કરીને, બસ ! પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે. દાદાશ્રી : એ દેખાય તે બરોબર છે. પણ દેખાવું તો જોઈએ, ના દેખાય એવું કામનું જ નહીં. ના દેખાય તો પ્રતિક્રમણ થયું કહેવાય નહીં. એટલે દેખાય એટલે પ્રતિક્રમણ થાય. અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય. (પા.૩૧૧)પ્રશ્નકર્તા : આપણને એનું મોઢું દેખાય, ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ? દાદાશ્રી : ના, કશુંય ખરાબ નથી. આપણે સ્ટ્રોંગ (દ્રઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે. નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો ના આવે. આ આટલા બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે ? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ ? આટલા બધા છોકરા છે, કંઈ બધા માટે આવે છે ? અમુક જોયા હોય, ને તેની પર દ્રષ્ટિ પડી હોય, તે જ આવે. જ્ઞાનીએ દર્શાવેલ રાહહું કહું કે હજુ તારું મન બગડે છેને ? ત્યારે કહે, હા, હજુ એવું થાય છે. સિત્તેર વર્ષ થયા, હવે જંપીને બેસ. હા, બધી નાદારી નીકળી, તો જંપ તો ખરો ! કઈ જાતનો માણસ છે ? દુકાનમાં બહુ નાદારી નીકળી ગઈ તોય જંપીને ના બેસે. પ્રશ્નકર્તા : એવો ખોટો વિચાર આવે તે વખતે માણસે એવી પરિસ્થિતિમાં શું કરવું ? દાદાશ્રી : તે છોને આવે. વિચાર આવે તે ફૂલહાર લઈને કહીએ, બહુ સારું બા, તમે આવ્યા. એ અમને ગમ્યું. આટલોય આનંદ થાયને ! કાણ-મોકાણના વિચાર લાવે તેના કરતાં આવા સારા વિચાર લાવે છે ! જુઓ, એક જણને જોઈને ખરાબ વિચાર આવ્યો કોઈપણ માણસને, હવે વિચાર આવ્યો એ શાથી આવ્યો કે મોહ ભરેલો હતો ને, એટલે સંજોગ ભેગો થયો. સંયોગ ક્યારે ભેગો થાય ? નહીં તો કંઈ આપણે બોલાવવા નથી ગયા એને. પણ ભેગા થાય. ભેગા થાય એટલે આપણું મન તે વખતે મોહના માર્યું છે તે એના જે પરમાણુ છે ને તે અવસ્થા (પા.૩૧૨)બતાડે, પર્યાય બતાડે એટલે આપણે શું કરવાનું ? કોના નિમિત્તે આ ખરાબ વિચાર આવ્યો ? એટલે જેના નિમિત્તે આવ્યો તેના નામનું પ્રતિક્રમણ કરવાનું. અને એ બેનના શુદ્ધાત્માને, મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, આ બેન માટે મને ખરાબ વિચાર આવ્યો તેની હું દાદા ભગવાન પાસે આલોચના કરું છું કે મને આવું થયું. એ જાહેર કરવું, એનું નામ આલોચના કહેવાય. એટલે મને ત્યાં બોલાવવાની જરૂર નહીં. ત્યાં તમારે ચિંતવનથી જાહેર કરી દેવા. પછી પ્રતિક્રમણ કરવું. એ શુદ્ધાત્માને કહેવું કે મને કોઈ દેહધારી ઉપર આવા વિચાર ના આવે, એવી મને શક્તિ આપો અને આ વિચાર આવ્યા તેની હું ક્ષમા માગું છું. ફરી આવું કોઈ દેહધારી પર મને વિષયોનો વિચાર જ ના આવે, એવી મને શક્તિ આપો. અને ફરી આવો વિચાર ક્યારેય પણ નહીં કરવાની મારી ઇચ્છા છે, એનું નામ પ્રત્યાખ્યાન કહેવાય. ફરી દોષ નહીં કરવાની ઇચ્છા છે છતાં ફરી દોષ આવશે, પાછું મહીં ભરેલો હશે તો આવશે તો ખરો જ. પણ પ્રત્યાખ્યાન દરેક ફેરે કરવું પડે. જેટલું પ્રત્યાખ્યાન કર્યું એટલાં ડુંગળીનાં પડ ઉતર્યાં. પછી પાછું બીજું પડ આવ્યું. આવડી નાની ડુંગળી હોય તેનાં પડ વધારે હોય કે આવડી મોટીનાં ? પ્રશ્નકર્તા : મોટીનાં વધારે હોય. દાદાશ્રી : હા, ત્યારે જેને મોટી ડુંગળી હોય તેને વધારે પડ નીકળે. પણ નીકળવા માંડ્યાં ખરા. એટલે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે. મોક્ષનું એક જ સાધન આ જગતમાં હોય તો, આ છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન તે જ્ઞાનીપુરુષનું શીખવાડેલું હોવું જોઈએ. બીજાનું શીખવાડેલું તો કામ જ ના લાગે. એટલે આપણને ગમે તેના વિચાર આવે તેનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરવું. એ તો અવશ્ય જ કરવું પડે. પ્રશ્નકર્તા : દાદા, પેલી ફરી ફરી દ્રષ્ટિ ખેંચાય, એકની એક (પા.૩૧૩)જગ્યાએ દ્રષ્ટિ ખેંચાય, એ તો ઇન્ટરેસ્ટ (રુચિ) હોય તો જ, એવું ના કહેવાય ? દાદાશ્રી : ઇન્ટરેસ્ટ જ ને ? ઇન્ટરેસ્ટ વગર તો દ્રષ્ટિ ખેંચાય જ નહીંને ? પ્રશ્નકર્તા : હા, પણ ઇન્ટરેસ્ટ થયો એટલે બીજ પડ્યું કે નહીં ? દાદાશ્રી : એ પાછું ગાંડું બોલ્યા, ઇન્ટરેસ્ટ વગર તો ખેંચાય જ નહીંને ? પ્રશ્નકર્તા : મહીં રુચિ ખરી. દ્રષ્ટિ ખેંચાય એનું પ્રતિક્રમણ થાય, પછી રાત પડી કે પાછું દ્રષ્ટિ ત્યાં આગળ જાય, રુચિ થાય, એનું પ્રતિક્રમણ થઈ જાય એ ચેપ્ટર (પ્રકરણ) પૂરું થઈ ગયું. પાછી પાંચ-દસ મિનિટ અસર થાય. એટલે થાય કે આ શું ગરબડ છે ? દાદાશ્રી : એ ફરી ધોઈ નાખવું જોઈએ. એટલું જ બસ. પ્રશ્નકર્તા : બસ એટલું જ ? બીજું મનમાં કાંઈ રાખવાનું નહીં ? દાદાશ્રી : આ માલ આપણે ભરેલો છે અને જવાબદારી આપણી છે. એટલે આપણે જોયા કરવાનું, ધોવામાં કાચું ના રહી જવું જોઈએ. પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ? દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું પ્રતિક્રમણ કરીએ એટલે. પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ? દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા કરવાનું ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે. (પા.૩૧૪)પ્રશ્નકર્તા : બહુ ચીકણું છે, દાદા. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે. દાદાશ્રી : જેવો દોષ ભરેલો એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે, પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો ! પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ? દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછાવત્તા થઈ જાય એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય. તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરેને, એટલે ઓછું થઈ જાય ! પ્રત્યક્ષ આલોચનાથી રોકડું છૂટાયપ્રશ્નકર્તા : મારી દ્રષ્ટિ પડે ને ક્યારેક, તો મને થાય કે અરેરે ! આ દ્રષ્ટિ ક્યાં પડી ? પ્રતિક્રમણ કરવું પડશે. કંટાળો આવે. દાદાશ્રી : પણ કંટાળો આવે ને, એ તો દ્રષ્ટિ પડી જાય છે. આપણે પાડવી નથી છતાં પડી જાય છે. માટે પુરુષાર્થ કરવાનો અને પ્રતિક્રમણેય કરવાની જરૂર છે. પ્રશ્નકર્તા : અમુક વસ્તુનો એટલો બધો ગુસ્સો આવે છે કે, એમ થાય છે કે આ કેમ આવું થાય છે ? સમજમાં નથી આવતું ? દાદાશ્રી : ગયા ફેરે પ્રતિક્રમણ ના કર્યા. તેથી આ ફેરે ફરી દ્રષ્ટિ પડે છે. હવે પ્રતિક્રમણ કરશું એટલે ફરી નહીં પડે, આવતા ભવમાં. (પા.૩૧૫)પ્રશ્નકર્તા : અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે. દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય. પ્રશ્નકર્તા : પણ અમુક વખતે તો ઘણાં બધાં પ્રતિક્રમણ કરીએ છીએ ને પાછું પ્રતિક્રમણ કરવાનું એટલે બહુ ગુસ્સો આવે ? આમ કેમ થઈ જાય છે ? દાદાશ્રી : મહીં બગડવું ના જોઈએ. મહીંનું મહીં બગડ્યું હોય તે વખતે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. નહીં તો દાદા પાસે રૂબરૂ આવીને કહી દેવું કે આવું અમારું મન બહુ બગડી ગયું’તું. દાદા, તમારાથી કંઈ છૂપું રાખવું નથી. એટલે બધું ઊડી જાય. અહીંની અહીં જ દવા આપીએ. બીજા કોઈને દોષ બેઠો હશેને તે અમે ધોઈ આપીશું, પણ અહીં જ્ઞાનીપુરુષ આવ્યા હોય ને દોષ બેઠો તો પછી કોણ ધોશે ? એટલે અમે કહીએ કે જો જો હોં ! કોઈ મન બગાડશો નહીં. સંસાર પરિભ્રમણનું મૂળ કારણઆ વિષય એક જ વસ્તુ એવી છે દુનિયામાં જે બંધનકારક થવાને માટે કારણ છે. એનાથી જગત ઊભું થયું છે. જગત આખું આમાંથી જ ઉત્પન્ન થયું છે અને એમાં બધું ઊભું થયું છે. માટે આને અત્યારે પહેલેથી અભિપ્રાય જ એવો ફેરવી નાખવો જોઈએ કે અભિપ્રાય બીજો રહે જ નહીં. રોજ રોજ અભિપ્રાય ફેરવવો જોઈએ સામાયિક કરીને, પ્રતિક્રમણ કરીને. પ્રશ્નકર્તા : માણસે પ્રતિક્રમણ કરીને પણ અભિપ્રાય ફેરવી નાખવો જોઈએ ? દાદાશ્રી : હા. (પા.૩૧૬)આઠસો પાનાનું બ્રહ્મચર્યનું પુસ્તક લખ્યું છે, તે તમે વાંચ્યું ? ‘વંડર ઑફ ધી વર્લ્ડ’ (દુનિયાની અજાયબી) કહે છે. બ્રહ્મચર્ય રાખવું હોય તો આ સાધન આપ્યું છે. પ્રતિક્રમણનું સબ્સ્ટિટ્યૂટ (અવેજી)પ્રશ્નકર્તા : આપે જે કહ્યું છેને, કે સવારના પહોરમાં આટલું બોલવું કે ‘આ મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો’ તો આટલું ચાલે ખરું ? પેલામાં ? દાદાશ્રી : એ પાંચ વખત બોલે પણ એ રીતે બોલવું જોઈએ કે પૈસા ગણે અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ. પ્રશ્નકર્તા : એવી જ રીતે આ વિષયના પ્રતિક્રમણની બાબતમાં જો એવું એક સવારના પાંચ વખત બોલે તો ચાલે ? કારણ કે આ તો કેટલાં પ્રતિક્રમણ કરે, કેટલી બધી વાર આંખ ખેંચાય ? દાદાશ્રી : હા, ચાલે, ચાલે. પણ કેવું બોલવું જોઈએ ? રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય છે, એવું રાખવું જોઈએ. રૂપિયા ગણતી વખતે અંતઃકરણ જેવું હોય એવું રાખવું પડે, બોલતી વખતે. એનાં તો દરરોજનાં હજાર-હજાર પ્રતિક્રમણઅત્યારે ફક્ત આંખને સંભાળી લેવી. પહેલાં તો બહુ કડક માણસો, આંખો ફોડી નાખતા’તા. આપણે આંખો ફોડી નાખવાની નહીં. એ મૂર્ખાઈ છે, આપણે આંખ ફેરવી નાખવાની. એમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. એક મિનિટ પણ પ્રતિક્રમણ ચૂકશો નહીં. ખાધા-પીધામાં વાંકું થયું હશે તો ચાલશે. સંસારનો મોટામાં મોટો રોગ જ આ છે. આને લઈને જ સંસાર ઊભો રહ્યો છે. આના મૂળિયાં પર સંસાર ઊભો રહ્યો છે. મૂળ જ છે આ. ડહાપણપૂર્વક કામ કાઢી લેવાનું છે. અત્યારે કંઈ કાળાબજારનો (પા.૩૧૭)માલ લાવ્યા તે, પછી કાળાબજારમાં વેચવો તો પડે જ, પણ આપણે કહેવું કે પ્રતિક્રમણ કરો. પહેલાં પ્રતિક્રમણ નહોતો કરતો. તે બધા તલાવડાં ભર્યા કર્મનાં, પ્રતિક્રમણ કર્યાં એટલે ચોખ્ખું કરી નાખ્યું. આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન પાંચસો-પાંચસો, હજાર-હજાર થશે ત્યારે કામ થશે. ન ભોગવાય અણહક્કનું કદીહક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જાય. પ્રશ્નકર્તા : અમે અણહક્કનું તો ખાધું છે. દાદાશ્રી : ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરોને, હજુ ભગવાન બચાવશે. હજુ દેરાસરમાં જઈને પશ્ચાત્તાપ કરો. અણહક્કનું ખાઈ ગયા હોય તો હજુ પશ્ચાત્તાપ કરો, હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાત્તાપ કરો. પ્રશ્નકર્તા : ખાલી પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? દાદાશ્રી : એ તમને સમજણ હોય તો કરો. જ્ઞાનીપુરુષનું માનવું હોય તો માનો, ના માનવું હોય તો તમારી મરજીની વાત છે. એ તમારે ના માનવું હોય તો એનો કોઈ ઉપાય છે નહીં. હજુ પશ્ચાત્તાપ કરશો તો ગાંઠો ઢીલી થઈ જશે અને ઉપરથી રાજીખુશી થઈ તે કરેલું છે. તે નર્કગતિનું બાંધી કાઢ્યું છે. અણહક્કનું ખાધું તો ખરું, પણ રાજીખુશીથી કરે, તો નર્કગતિમાં જાય અને જો પશ્ચાત્તાપ કરે તો જાનવરમાં આવે. ભયંકર નર્કગતિ ભોગવવાની છે. માટે જો અણહક્કનું હજુ જેટલું ખાવું હોય એટલું ખાજો લોકોનું. પ્રશ્નકર્તા : આ બધામાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય શું ? દાદાશ્રી : અણહક્કનું ખાધું હોય તેનો પશ્ચાત્તાપ કરો. અણહક્કનું ખાવાના વિચાર આવે તોય પશ્ચાત્તાપ કરો. આખો દહાડો પશ્ચાત્તાપમાં (પા.૩૧૮)જ રહો. આવું ન ખવાય. મારે તો હક્કનું હોય તો જ મારા કામનું. પોતાના હક્કની સ્ત્રી હોય, પોતાના હક્કનાં છોકરાં હોય, ઘર, મકાન બધું આપણું હોય, પણ પારકાના હક્કનું કેમ લેવાય ? એ પછી જાનવર થયે છૂટકો નથી, નર્કગતિના અધિકારી થયાં છે. ભયંકર દુઃખોમાં સપડાયા. હજુ ચેતવું હોય તો ચેતજો. આ જ્ઞાનીપુરુષ શું કહે છે કે તમને પશ્ચાત્તાપરૂપી હથિયાર આપ્યું છે. પ્રતિક્રમણ કર્યા કરો. હે ભગવાન, અણસમજણથી, ખરાબ બુદ્ધિથી, કષાયોથી પ્રેરાઈને પણ આ જે મેં દોષો કર્યા છે, ભયંકર દોષો કર્યા છે. એની ક્ષમા માગું છું. કષાયોની પ્રેરણાથી કર્યા છે, તમે તમારી જાતે નથી કર્યા. હજુ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો તમારી મરજીની વાત છે. લાલચથી ભયંકર આવરણજેટલી ચીજ લલચાવનારી હોય એ બધી જ બાજુએ મૂકી દે, એને યાદ ના કરે. યાદ આવે તો પ્રતિક્રમણ કરે તો એ છૂટે. બાકી શાસ્ત્રકારોએ એનો કંઈ ઉપાય બતાવ્યો નથી. બધાનો ઉપાય હોય, લાલચનો ઉપાય નહીં. લોભનો ઉપાય છે. લોભિયા માણસને તો મોટી ખોટ આવેને, ત્યારે લોભ ગુણ જતો રહે હડહડાટ ! પ્રશ્નકર્તા : ફરી ‘જ્ઞાન’માં બેસે તો લાલચ નીકળે ? દાદાશ્રી : ના નીકળે. ‘જ્ઞાન’માં બેસવાથી કંઈ ઓછું નીકળે છે ? આ તો પોતે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે ને નિરંતર આજ્ઞામાં રહેવું જ છે એવું નક્કી કરે ને આજ્ઞાભંગ થાય તો પ્રતિક્રમણ કરે, ત્યારે દહાડો વળે. હજી પણ ચેતો ! ચેતો !! ચેતો !!!પ્રશ્નકર્તા : એક ડર લાગ્યો, હમણાં આપે કહ્યું કે સિત્તેર ટકા માણસોને પાછા ચાર પગમાં જવાનું છે તો હજી અમારી પાસે અવકાશ ખરો કે નહીં ? (પા.૩૧૯)દાદાશ્રી : ના, ના, અવકાશ રહ્યો નથી. માટે હજુ જો ચેતોને કંઈ... પ્રશ્નકર્તા : મહાત્માઓની વાત કરે છે. દાદાશ્રી : મહાત્માને જો કદી મારી આજ્ઞામાં રહેને તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં. પ્રશ્નકર્તા : હવે ચુસ્ત રહીશું, પણ હવે અમારું ધ્યાન રાખજો. દાદાશ્રી : હા, એ ચોક્કસ થઈ ગયુંને. અમે સારી રીતે ધ્યાન રાખીશું. અત્યારે આ વિચિત્ર કાળમાં સિત્તેર ટકા તો હું બીતો બીતો કહું છું, લોકોને ખરાબ લાગે એટલા હારુ. લોકોના મનમાં ડર પેસી જાય બહુ, એ ખોટું દેખાય એટલા માટે. હજી ટકા તો બહુ વધારે છે. કારણ કે વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને માર માર્યો છે. એનું ફળ નર્કગતિ છે. જાનવર નહીં પણ નર્કગતિ. બોલો હવે, અહીં શું કરવામાં બાકી રાખ્યું હશે ? આ લોકોએ કશું બાકી જ નથી રાખ્યું. એટલે હું લોકોને કહું છું કે હજુ ચેતાય તો ચેતો. હજુ માફી માગી લેશોને, તે માફી માગવાનો રસ્તો છે. આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય કોઈ સગાંવહાલાંને, અને મહીં ગાળો દીધી હોય, આપણે ખૂબ ગાળો દીધી હોય, આખા કાગળમાં બધી ગાળોથી જ ભર્યો હોય, અને પછી નીચે લખીએ કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારે માટે બોલ્યો છું, પણ મને માફ કરી દેજો. તો બધી ગાળો ભૂંસી નાખે કે ના ભૂંસી નાખે ? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફેય કરે ! એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો, તમારા ઇષ્ટદેવ પાસે માગી લેજો. અને ના માગતા હોય તો મારી પાસે માગી લેજો. હું તમને માફ કરી આપીશ. પણ બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે અને તેમાં ચંદુભાઈ પણ ગમે (પા.૩૨૦)તેમ વર્તે છે. એનો અર્થ જ નથી ને ! જવાબદારી ભરેલું જીવન ! હજુ ચેતવું હોય તો ચેતી જજો. આ છેલ્લી તમને બાંહેધરી આપીએ છીએ. ભયંકર દુઃખો ! હજુ પ્રતિક્રમણરૂપી હથિયાર આપીએ છીએ. પ્રતિક્રમણ કરશો તો તો હજુ કંઈક બચવાનો આરો છે અને અમારી આજ્ઞાથી જો કરશો તો તમારું જ ઝપાટાબંધ કલ્યાણ થશે. પાપ ભોગવવાં પડશે પણ આટલા બધાં નહીં. જ્યારે ત્યારે તો સમજવું પડશેને ? આમ પૂરું સમજવું પડશેને ? મોક્ષ ભણી આવવું પડશેને ? હજારો માણસોની રૂબરૂમાં કોઈ કહે કે ‘ચંદુભાઈમાં અક્કલ નથી’ તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે ઓહોહો ! આપણે જાણતા હતા કે ચંદુભાઈનામાં અક્કલ નથી, પણ આ તો એ હઉ જાણે છે, ત્યારે જુદાપણું રહેશે ! આ ચંદુભાઈને અમે રોજ બોલાવીએ, કે આવો ચંદુભાઈ, આવો, અને પછી એ દહાડો ના બોલાવીએ, એનું શું કારણ ? એમને વિચાર આવે કે આજે મને આગળ ન બોલાવ્યો. અમે ચઢાવીએ એને, પાડીએ, ચઢાવીએ અને પાડીએ, એમ કરતું કરતું જ્ઞાનને પામે. આ બધી અમારી ક્રિયાઓ જ્ઞાન પામવા માટે છે. અમારી હરેક ક્રિયાઓ જ્ઞાન પામવા માટે છે. દરેકની જોડે જુદી જુદી હોય, એની પ્રકૃતિ જોઈને કરેલું હોય બધું, એવું હોવું જોઈએ. એ પ્રકૃતિ નીકળી જ જવી જોઈએ ને. પ્રકૃતિ તો કાઢવી જ પડશે. પારકી વસ્તુ ક્યાં સુધી આપણી પાસે રાખવી ? પ્રશ્નકર્તા : ખરી વાત છે, પ્રકૃતિ નીકળ્યા સિવાય છૂટકો જ નથી. દાદાશ્રી : હં. અમારી તો કુદરતે કાઢી આપી, અમારી તો જ્ઞાને કાઢી આપી. અને તમારી તો અમે કાઢીએ ત્યારે જ ને, નિમિત્ત છીએ ને ! તમારે ઘણી પ્રકૃતિ નીકળી ગઈ. હજુ રાતે પ્રતિક્રમણ કરવાં પડે (પા.૩૨૧)છે ને, તે ભૂલ છે હજી. એ તો ભૂલ બધી કાઢવાની. ખબર પડે છે ને પછી ? પ્રશ્નકર્તા : હા, તરત ખબર પડી જાય. દાદાશ્રી : પછી તો ખ્યાલ આવે. પ્રતિક્રમણ કર કર કરે. આપણે આખી રાત એમાં જાય. ‘એ’ છે પ્રગતિનો પંથપ્રશ્નકર્તા : છેલ્લા આમ બાર મહિના-બે વર્ષથી આમ આપણને થોડું ઓછું લાગે કે પહેલાં કરતાં, પહેલાં જે કરવું પડતું’તું, પ્રતિક્રમણ કરવાં પડતાં, એના કરતાં ઘણાં ઓછાં કરવાં પડે છે. દાદાશ્રી : પહેલાં તો ખબર જ નહોતી પડતી. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ તો પ્રતિક્રમણ કરતા જ નહોતાને અને તમે એમ જ જાણતા’તા કે આ એની જ ભૂલ છે. પ્રશ્નકર્તા : પછી બે-ત્રણ વર્ષ પ્રતિક્રમણનું ચાલ્યું. આ છેલ્લા બાર મહિના, દોઢ વર્ષથી આ પ્રમાણ ઓછું થતું ગયું છે. પ્રમાણ ઓછું થતું ગયું છે, છતાંય ભૂલ થાય તો પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : હા, એ તો થવાની જ, ઠેઠ સુધી. આ દેહ જ ભૂલવાળો છે. પ્રશ્નકર્તા : આ લેવલ ઓછું થતું જાય છે એમ. દાદાશ્રી : આપણે જોવાનું ને જાણવાનું. ભૂલ જેમ જેમ ઓછી થાય ને તે આપણને જાગૃતિ આવે કે આ ભૂલ થઈ. તે આખી રાત પ્રતિક્રમણ કરીએ. પછી એના પર દોષ ના નાખીએ. પાછા ફરી જઈએ. પહેલાં પાછા ફરતા નહોતા. હવે તો તમારે આ જ્ઞાનથી જોવું કે, એમના આ બધા કાગળો તમારી પર આવે છે, પણ પછી એ એમની ભૂલો (પા.૩૨૨)જોઈ શકે છે. એટલે એ પ્રતિક્રમણ કરતા જ હશે, તમારે તો સમજી જવું કે ‘મારે તો આ જ બરાબર છે, છો મારી પર કાગળો આવે.’ કાગળ લખે એ એમની પ્રકૃતિ છે અને એ પ્રતિક્રમણ કરે છે એ આત્મા છે. જો અત્યારેય કાગળો લખે જાય છે. એ જ પ્રકૃતિ છે, અને પાછા પોતે પ્રતિક્રમણ કરે છે ત્યાં આત્માનો ભાગ છે ! અતિક્રમણની અંતિમ પરાકાષ્ટાપ્રશ્નકર્તા : અતિક્રમણની અંતિમ પરાકાષ્ટા કઈ ? દાદાશ્રી : અતિક્રમણની પરાકાષ્ટા તો વાસુદેવો ને પ્રતિવાસુદેવોને હોય. એથી આગળ કોઈ બીજો ના કરી શકે. અને એવી નર્કેય કોઈ ભોગવે નહીં, સાતમી નર્ક ! છેલ્લામાં છેલ્લું અતિક્રમણ, આમ બાળી મૂકો ને મારી નાખો ને બધું સર્વસ્વ નાશ કરો. તે બીજા લોકોને તો એવું હોય જ નહીંને ! ટૂંકા વાક્યથી કામ લેવું કે, કોઈ દુશ્મનના તરફ પણ ભાવ ન બગડે. અને બગાડ્યો હોય તો પ્રતિક્રમણથી સુધારી લો. બગડી જવો એ વસ્તુ નબળાઈને લીધે બગડી જાય. તો એને પ્રતિક્રમણથી સુધારી લો. એમ કરતાં કરતાં એ વસ્તુ સિદ્ધ થશે. (પા.૩૨૩)[19] જૂઠના બંધાણીનેકર્મ અને કર્મફળહવે તમે આખા દિવસમાં એકુય કર્મ બાંધો છો ખરા ? આજ શું શું કર્મ બાંધ્યું ? જે બાંધશો તે તમારે ભોગવવું પડશે. પોતાની જવાબદારી છે. એમાં ભગવાનની કોઈ જાતની જવાબદારી નથી. પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ? દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મ બંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ? પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ. દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે ‘શું કરું ? આવું જૂઠું ના બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે પણ પેલો અભિપ્રાય બંધ થશે ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે.’ એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારાં જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એનાં ‘રિએક્શન’ (પ્રતિક્રિયા) છે એટલાં બાકી રહેશે. (પા.૩૨૪)તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાત્તાપ કરી લેજો. હવે પશ્ચાત્તાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા તે કર્મફળનુંય ફળ તો આવશે. અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, ‘શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા ? એમની આ લાયકાત છે ?’ એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાત્તાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, ‘કૉઝિઝ’ જ બંધ કરી દેવામાં આવે, તો પછી ‘કૉઝિઝ’નું ફળ, અને તેનું પણ ફળ ના હોય. એટલે આપણે શું કહીએ છીએ ? જૂઠું બોલાઈ ગયું પણ ‘એવું ના બોલવું જોઈએ’ એવો તું વિરોધી છેને ? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથી ને, તો તારી જવાબદારીનો ‘એન્ડ’ (અંત) આવી જાય છે. પ્રશ્નકર્તા : પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે એ શું કરે ? દાદાશ્રી : એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી પડે. અને પ્રતિક્રમણ કરે તો પછી જોખમદારી અમારી છે. એટલે અભિપ્રાય બદલો ! જૂઠું બોલવું એ જીવનનાં અંત બરોબર છે. જીવનનો અંત લાવવો અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ‘ડિસાઈડ’ (નક્કી) કરવું પડે. અને પાછું સત્યનું પૂછડું ના પકડશો. રિલેટિવ ધર્મમાં‘રિલેટિવ ધર્મ’ કેવો હોવો જોઈએ ? કે જૂઠું બોલાય તો બોલ પણ તેનું પ્રતિક્રમણ કર. પ્રશ્નકર્તા : આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે ? નથી કરવું છતાં કેમ થઈ જાય છે ? (પા.૩૨૫)દાદાશ્રી : એ તો દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા. તેથી અમે એકુય દહાડો કશુંય કહ્યું નહીં કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય તોય ચેતે તે ઘડીએ. કહ્યું છે કોઈ દહાડો કે આવું ના કરવું જોઈએ ? પ્રશ્નકર્તા : અને પછી જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી પ્રતિક્રમણો કર્યા કરીએ. જ્યારે મને હવે એમ થાય કે તું ખોટું કરે છે એટલે પ્રતિક્રમણ કરવાં જ પડે છે. દાદાશ્રી : ખોટું કર્યું એટલે પ્રતિક્રમણ કરવાં જ પડે ને ! પ્રશ્નકર્તા : પણ એના કરતાં ખોટું ના કરીએ તો, એમાં ટાઈમ... દાદાશ્રી : પણ એ ચાલે નહીં. એ તો આપણે એના ઉપરથી, મહીંથી રસ કાઢી નાખવાનો, કે આ ખોટું થઈ રહ્યું છે, આમ ના હોવું જોઈએ. આ તો ગમતું હોય તે ઘડીએ તમને ટેસ્ટ આવે, એ ના ગમતું થઈ જાય તો વાંધો નહીં. તમને પેલું ખાવું છે, ને ના ગમતું હોય, ને પછી તમે ખાતા હો તો વાંધો નહીં. ‘રીયલ’ ધર્મમાં આવ્યા પછીપ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને, કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે ને ? પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ? દાદાશ્રી : ભાવ થવાનો નહીં. આપણે તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો, અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદ-બે વખતે હોય એનું આપણે પ્રતિક્રમણ કરવું પડે. આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો આત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના (પા.૩૨૬)મૂળ ઉત્પાદક તો આપણે જ હતાને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.’ પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં, પચાસ-સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય, તે બધાનાં - નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડેશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. પ્રશ્નકર્તા : પણ દાદા, જેણે મને રગડ્યા છે એને જ મેં રગડ્યા છે. દાદાશ્રી : તમને જેણે રગડ્યા હશે તેનું તો તે ભોગવી લેશે. તેની જવાબદારી તમારી નથી. જે રગડે છે એને જવાબદારીનું ભાન નથી. એ આ અવતારમાં રોટલી ખાય છે, તે આવતા અવતારમાં પૂળા ખાવાનો વાંધો નથી એને ! એનો આધાર છે પુણ્ય અને પાપનોપ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ? દાદાશ્રી : એ એના પાપ અને પુણ્યના આધારે બને છે. એના પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તોય ચાલી જાય. પ્રશ્નકર્તા : તો એને કંઈ નુકસાન નહીં ? દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે ! (પા.૩૨૭)પ્રશ્નકર્તા : જાણી જોઈને ખોટું કરીએ ને પછી પ્રતિક્રમણ કરી લઈશું કહીએ તો તે ચાલે ? દાદાશ્રી : ના. જાણી જોઈને ના કરવું. પણ ખોટું થઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાય. એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો’, હવે જૂઠા કહેતાંની સાથે તો એટલું બધું ‘સાયન્સ’ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક તો એના પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. એટલા બધા પર્યાય ઉત્પન્ન થાય છે. માટે શબ્દ બોલતાં પહેલાં... બોલાય નહીં તો ઉત્તમ કહેવાય. અને બોલાય તો પ્રતિક્રમણ કરો. બોલાય નહીં એવું તો આપણે કહી શકતા નથી. કારણ કે વ્યવસ્થિત છેને, પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે. પ્રતિક્રમણ કરો તો છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા. ખાલી કરવાની આ ‘દુકાન’પ્રશ્નકર્તા : તો પછી આ જિંદગી જીવવાની કેવી રીતે ? દાદાશ્રી : શી રીતે જીવાય છે એ જોવાનું. પ્રશ્નકર્તા : તો પછી સાચું-ખોટું એનું ડિસિઝન (નિર્ણય) કેવી રીતે લેવાનું ? દાદાશ્રી : ‘ચંદુભાઈ’ કરે તે જોયા કરવાનું. પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’ ખોટું કરે તો વાંધો નહીં ? દાદાશ્રી : ‘ચંદુભાઈ’ જે કરે એ ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપ છે. એમાં ફેરફાર થાય એવો નથી. ‘ડિસ્ચાર્જ’ હંમેશાં ફેરફાર થાય નહીં. ઇફેક્ટમાં ફેરફાર ના થાય એવું તમે સાંભળેલું ? પરીક્ષા આપવામાં ફેરફાર કરી શકાય, પણ એના પરિણામમાં ફેરફાર થાય ખરો ? (પા.૩૨૮)પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો આ પરિણામ છે. પ્રશ્નકર્તા : પણ ખોટું કરે તો પાછું બીજા જન્મમાં તકલીફ પડેને ? દાદાશ્રી : ના પડે. તમારે તો ફક્ત ‘ચંદુભાઈ’ને એમ કહેવાનું કે ‘પ્રતિક્રમણ કરો’, સારું કર્યું હોય તેય બીજા જન્મમાં આવે પાછું. સારું-ખોટું, કશું આપણને કંઈ લેવાદેવા નથી. આપણે નિકાલ કરી નાખવાનો છે. આ દુકાન કાઢી નાખવાની છે. સારો માલ હોય, રાશી માલ હોય તે દુકાનમાંથી કાઢી નાખવાનો છે. આ પરિણામ છે હવે. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય માત્રપ્રશ્નકર્તા : આપે જે પાંચ આજ્ઞાઓ કહી તો એના આધારે જીવવાનું, એવું નહીં ? દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની. તેથી આત્માને રક્ષણ થાય, આ જ્ઞાનને રક્ષણ થાય. એમાં અઘરી નથીને ? પ્રશ્નકર્તા : ના, અઘરી તો છે જ. તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં. દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે ‘મારે સમભાવે નિકાલ કરવો’ એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં. પ્રશ્નકર્તા : જે રીતે થાય એમ ? દાદાશ્રી : એ ભાંજગડમાં તમારે પડવાનું નહીં. સાચું-ખોટું હોતું જ નથી હવે. ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય બેઉ હોતું જ નથી. આ તો બધી અહીં સમાજવ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય. ને મુસલમાનોનું સત્ય તે હિન્દુઓને અસત્ય થાય. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે (પા.૩૨૯)છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે ‘ચંદુભાઈ’ હતા એ અહીંયા દુનિયામાં સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ ‘ચંદુભાઈ’યે નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે. સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. ‘ચંદુભાઈ’ જૂઠું બોલે તેય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે ‘ચંદુભાઈ’ને કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ જૂઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે ‘દાદા’ પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહીં તેવી શક્તિઓ માગવી. (પા.૩૩૦)[20] જાગૃતિ, વાણી વહે ત્યારેવાણીથી કર્મબંધન વધારેમનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય, પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી વાણીના એ બધા દોષો માફ થઈ જશેને ? દાદાશ્રી : દોષો ઊભા રહે, પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણે ‘આમ’ કર્યું કે ખંખેરાઈ જાય બધા પ્રતિક્રમણથી. એમાંથી રસકસ ઊડી જાય બધો. કર્તાનો આધાર હોયને તો કર્મ બંધાય. હવે તમે કર્તા નથી. એટલે પાછલાં કર્મ હતાં તે ફળ આપીને જાય. નવાં કર્મ બંધાય નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, સામા માણસને ‘ઇફેક્ટ’ શું થાય પછી ? દાદાશ્રી : તેનું આપણે જોવાનું નહીં. પ્રતિક્રમણ કરીએ એટલે પછી આપણે જોવાનું નહીં. પ્રતિક્રમણ વધારે કરવાનાં. પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાયને ? દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઇચ્છા વિરુદ્ધ થયું છેને, (પા.૩૩૧)માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે તે ચૂકવાઈ ગયો. પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગેને ? દાદાશ્રી : હા. એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને ! હિસાબ ચૂકવવો પડે તે તો ચૂકવવો જ પડેને ! એમાં છૂટકો જ ના થાય. પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે. દાદાશ્રી : હા, એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું. બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરું, એવું નક્કી કરવું જોઈએ. પછી નવરા પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય, જે જે કઠણ ફાઈલ છે એટલી જ નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોયને ? રાખો વ્યવહાર, વ્યવહાર સ્વરૂપેપ્રશ્નકર્તા : માણસ અકળાઈને બોલ્યા એ અતિક્રમણ નથી થતું ? દાદાશ્રી : અતિક્રમણ જ કહેવાય ને. પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી ગઈ ને તેનું પ્રતિક્રમણ ના કરીએ તો શું થાય ? દાદાશ્રી : એવી વાણી નીકળી ગઈ, તે એનાથી તો સામાને ઘા લાગે, એટલે પેલાને દુઃખ થાય. સામાને દુઃખ થાય એ આપણને કેમ પસંદ પડે તે ? પ્રશ્નકર્તા : એનાથી બંધન થાય ? (પા.૩૩૨)દાદાશ્રી : આ કાયદાથી વિરુદ્ધ કહેવાયને ? કાયદાની વિરુદ્ધ ખરુંને ? કાયદાની વિરુદ્ધ તો ન જ હોવું જોઈએ ને ? અમારી આજ્ઞા પાળોને એ ધર્મ કહેવાય. અને પ્રતિક્રમણ કરવાં એમાં નુકસાન શું આપણને ? માફી માંગી લો અને ફરી નહીં કરું એવા ભાવ પણ રાખવાના, બસ આટલું જ. ટૂંકું કરી નાખવાનું. એમાં ભગવાન શું કરે ? એમાં ક્યાંય ન્યાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે, તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા ? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. અને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું. પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું તેનું શું ? દાદાશ્રી : એ વ્યવહારાધીન છે. પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ? દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તોય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપજ્ઞાન ના હોય તેણે વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો, સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે. લો પ્રતિક્રમણનો આધારપ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે, અમારાથી કડવું નીકળે છે. (પા.૩૩૩)તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાયસન્સ મળી જાય છે ? દાદાશ્રી : આ વાક્યનો આધાર લેવાય જ નહીંને ! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીંને ! હવે તમે પોતે અવળું બોલો, પછી તેનું પ્રતિક્રમણ કરો એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. વાણીથી જેવું કંઈ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા’. પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ આપણે બોલનાર પાસે કરાવવું પડે. ઈચ્છા નથી છતાં થઈ જાયપ્રશ્નકર્તા : આપણે મનથી એમ ઇચ્છીએ કે આની જોડે નથી બોલવું, નથી કંઈ કજીયો કરવો, નથી ઝઘડવું અને છતાંય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, કલેશ થઈ જાય છે, બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે. દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાંય ખોટું થાય, તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તેય જ્યારે પૂરો થવાનો આવ્યો હોય ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ થાય. એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે. નહીં તો અધૂરું હોય તો મહીં ભાવેય થાય અને એ કાર્યય થાય, બેઉ થાય. એ કાર્ય હજુ અધૂરું હોય, હજુ કામ બાકી હોય, કરવાનું હોય તો ભાવેય થાય, આપણને ઊંધું (પા.૩૩૪)કરવાનો ભાવેય થાય અને ઊંધું થાયેય ખરું. આ ઊંધું કરવાનો ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે ‘કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટસ્ ધેર શેડોઝ બીફોર’ (બનવાનું હોય તેના પડઘા પડે પહેલેથી). ટકોર થઈ જાય, તેનું શું ?પ્રશ્નકર્તા : આપે વાણી પરસત્તા કહી, વાણી પરાધીન છે કહ્યું. તો આપણે નિશ્ચય કરીએ કે આની જોડે ખરાબ બોલવું જ નથી આપણે. ભલે ગમે એટલી ચીકણી ફાઈલ હોય, તો એ કોડ નાનો થઈ જાય ખરો ? દાદાશ્રી : એ તો આપણે એમને એમ કહેવું, ખરાબ બોલાય ત્યારે કે ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો’ અને પછી ‘ચંદુભાઈ’ને શું કહેવું કે, ‘હવે ફરી આવું ખરાબ નહીં બોલો.’ એટલે એમ કરતાં કરતાં રાગે આવી જશે. પણ કહેવું તો પડે જ. ટકોર ના કરીએ ત્યારે તો અભિપ્રાય એક થઈ ગયો ! અભિપ્રાય જુદો જ રહેવો જોઈએ. પ્રશ્નકર્તા : ઘણી વખત એવું થાય છે કે આપણે ટકોર કરીએ તો ફરી પાછું સુધરી જાય છે. પછી ફરી પાછી આવી ભૂલ થતી નથી. અને ઘણી વખત ગમે એટલા સ્ટ્રોંગ નિશ્ચયથી પોતે ટકોર કરે, પ્રત્યાખ્યાન કરે, તોય પાછી એવી ભૂલ થાય જ છે. દાદાશ્રી : થાય છે, એમાં પૂર્વકર્મનો દોષ છે. આપણી જ નબળાઈ છેને પહેલાંની ! આમાં બહારનાનો કોઈનો હાથ જ નથીને ! આપણે જ નિવારણ લાવવું પડશેને ? આત્માર્થે જૂઠું તે જ મહાસત્યપ્રશ્નકર્તા : પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે ? દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવાનું (પા.૩૩૫)આવે છે, એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે તેનો વાંધો નથી. એ આત્માને પરમાર્થ કહો છો ને ? હા, આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી, સામાને આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે ! વ્યવહાર માત્ર ફરજિયાતપ્રશ્નકર્તા : આપણે સામાને કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં તે છતાં આપણે એને કહીએ, તો એને એમ લાગે કે ‘આ બરાબર નથી કહેતાં, ખોટું છે’, તો એને અતિક્રમણ કહેવાય ? દાદાશ્રી : પણ એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું. આપણને શું એમાં મહેનત જવાની છે ? કોઈકને દુઃખ કરીને આપણે સુખી થઈએ નહીં. પ્રશ્નકર્તા : વ્યવહારમાં કેટલીક વખત આવું કહેવું, કરવું પડે છે. નહીં તો લેથર્જીપણું (આળસ) આવી જાય છે ને સામી વ્યક્તિને લેથર્જીપણું આવે. દાદાશ્રી : વ્યવહારમાં આ કરો ખરા, પણ આપણે પ્રતિક્રમણ કરી લેવું. વ્યવહાર તો કરવો જ પડે, છૂટકો જ નહીંને, ફરજિયાત છે, ફરજિયાત વ્યવહાર છે. આખા જગતે મરજિયાત વ્યવહાર માન્યો છે. આ અક્રમ વિજ્ઞાને ખુલ્લું કર્યું કે ‘ધીસ ઈઝ (આ છે) ફરજિયાત વ્યવહાર’. અને ‘આપણે’ જ એમ કહ્યું કે ‘ઈટ હેપન્સ’ (થઈ રહ્યું છે) ! પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણની અસર ના થાય તો એનું કારણ આપણે પૂરા ભાવથી નથી કર્યું કે સામી વ્યક્તિનાં આવરણ છે ? દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે નહીં જોવાનું. એ તો ગાંડોય હોય. આપણા નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ, બસ ! (પા.૩૩૬)પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન આપણે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાદાશ્રી : એને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપણી ‘રિસ્પોન્સિબિલિટી’ (જવાબદારી) છે. હા, દુઃખ ના થાય એના માટે તો આપણી લાઈફ (જિંદગી) છે. હવે ભવિષ્યમાં નહીં કરીએ. પણ જૂનાં જે થઈ ગયેલાં છે, એનો ઉપાય તો કરવો જ પડશેને ? પ્રશ્નકર્તા : પછી ધારો કે એ છતાંય સામાને સમાધાન ના થતું હોય, તો પછી પોતાની જવાબદારી કેટલી ? દાદાશ્રી : રૂબરૂમાં જઈને જો આંખથી થતું હોય તો આંખ નરમ દેખાડવી. છતાંય આમ માફી માંગતાં ઉપર ટપલી મારે તો, સમજી જવું કે આ કમજાત છે. છતાં નિકાલ કરવાનો છે. માફી માગતાં જો ઉપર ટપલી મારે તો જાણવું કે આની જોડે ભૂલ તો થઈ છે પણ છે માણસ કમજાત, માટે નમવાનું બંધ કરી દો. હેતુ સોનાનો, પણ દેખાવમાં ભૂલતારાથી લોકો દુભાય છે કે ? પ્રશ્નકર્તા : દુભાય છે. દાદાશ્રી : પછી તરત ખબર પડી જાય કે ? પ્રશ્નકર્તા : તરત ખબર પડે. દાદાશ્રી : એમ કે ? ત્યારે શું કરું તું પછી ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું. દાદાશ્રી : વઢ્યા પછી પ્રતિક્રમણ કરી લઈએ તો શું વાંધો ? હેતુ સારો છેને, બસ એટલું જ તો જોઈએ. પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ? (પા.૩૩૭)દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થાયને અને વ્યવહારમાં લોકો કહેશેને, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે ! પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તોય અમારેય પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધાય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તોય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવા આ કપડા ઉપરના ડાઘ છે. આ કોઈ જીવતા નથી બોલતા, આ બધી ટેપરેકર્ડ બોલે છે. પછી એ પસ્તાય ખરો પાછો. તો એ નથી બોલ્યા, એ ખાતરી થઈ ગઈને આપણને ? હવે એ પસ્તાય તેવું કરવાની જરૂર છે, તેને બદલે ‘કેમ બોલ્યો ?’ કહીએ એટલે ઊલટો પસ્તાવાનું છોડી દઈને અને પાછો આપણી સામે હઉ થાય એ. શી ભૂલ થાય છે ? એને પસ્તાવા જેવું કરવાનું છે. આ ‘અમારી’ ટેપરેકર્ડ વાગે તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો, નહીં તો ના ચાલે. ટોકાય પણ દુઃખ ના થાય તેમપ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. એનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો ? દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ? દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો (પા.૩૩૮)એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ’ (પરીક્ષણ થયેલી) વાણી જોઈએ. ‘અનટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તોય સીધું થઈ જશે. પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવા પડે, અટકાવવા પડે, તો તે વખતે એને દુઃખ પહોંચે તો ? દાદાશ્રી : હા. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.’ એટલું પ્રતિક્રમણ કરવું પડે. કહેવાનો અધિકાર છે પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું’, તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. અને તેનું પ્રતિક્રમણ કરવું પડે. વિનયપૂર્વક અવળાં વેણપ્રશ્નકર્તા : એટલે બીજાને માઠું લાગે એ આપણે જોવાનું નહીં. આપણે કહી દેવાનું. દાદાશ્રી : એવું ના કહેવું જોઈએ. દુઃખ થાય એવી વાત શા માટે કહેવી જોઈએ ? પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં ? દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, ‘આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.’ આપણે એવું કહેવાય. પણ આપણે એમના બોસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય એને વિનયથી કહેવા જોઈએ. (પા.૩૩૯)પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ? દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ‘ડ્રામેટિક’ (નાટકીય) છેને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, ‘હું ભર્તૃહરિ રાજા છું, આ રાણીનો ધણી થઉં.’ પછી ‘ભિક્ષા દેને મૈયા પીંગળા’ કહીને આંખમાંથી પાણી કાઢે. ત્યારે ‘અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને શું ? તું સાચું રડે છે ?’ ત્યારે કહેશે, ‘હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.’ એવી રીતે અભિનય કરવાનો છે જ્ઞાન મળ્યા પછી, આ તો નાટક છે. પ્રશ્નકર્તા : એટલે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય તોય આપણને કાંઈ કર્મ ન બંધાય ? દાદાશ્રી : દુઃખ થાય એવું આપણા નિમિત્તે ન કરવું. તેમ છતાં થયા કરે તો તો એ એનું પોતાનું. આપણે આપણા નિમિત્તે ન થાય એવી રીતે સાચવણી રાખવી જોઈએ. પ્રશ્નકર્તા : છતાં આવેશમાં કંઈ બોલાઈ જવાય તો ? દાદાશ્રી : બોલાઈ જવાય તો પછી પ્રતિક્રમણ કરવું. ‘જોક’નું પણ ઘટે પ્રતિક્રમણકોઈને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય, અરે, સહેજેય કોઈને ‘જોક’ (મજાક) કર્યો હોય અને સામો જરા કાચો હોય ને જરા ચલાવી (સહન કરી) લેતો હોય તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે ‘જોક’ કરીએ પણ નિર્દોષ ‘જોક’ કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળા બનાવવા માટે ‘જોક’ કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ ‘જોક’ કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલોય સમજે કે આ ગમ્મત કરે છે. મશ્કરી નથી કરતા, ગમ્મત કરે છે. હવે આ અમે કોઈની ગમ્મત કરીએ તો એનાંય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં. (પા.૩૪૦)પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાયને ! દાદાશ્રી : ના, પણ એય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે પણ અમારે તો કરવાં પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ ‘ટેપરેકર્ડ’ નીકળેને, તે પછી ઝાંખી નીકળે. પ્રશ્નકર્તા : તમારે પ્રતિક્રમણ તો ‘ઓન ધ સ્પોટ’ થઈ જતાં હશેને ? દાદાશ્રી : હા, એમાં મારો ભાવ ખરાબ નહીં. પણ તોય એ હાસ્ય નામનો કષાય કહેવાય છે. મશ્કરી કરતા નથી તોય હાસ્ય નામનો કષાય કહેવાય છે. એ બિચારો ભોળો છે ત્યારે એને ગોદા માર માર કરો છો ? પણ અમે પ્રતિક્રમણ કરીએ. તે અમનેય જરા ગમ્મત પડે. ગોદા મારીએ ત્યારે ગમ્મત પડે જરા. પણ આ લોકો મજબૂત તો થશે એવું અમે જાણીએ એટલે ‘હઉ થશે’ કરીને અમે ગમ્મત કરીએ. પ્રશ્નકર્તા : પણ આ ભાઈને માટે જે હાસ્ય કર્યું, તો એનાં પ્રતિક્રમણ એ કેવું ? દાદાશ્રી : હા, એ કરુણાનાં પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. આ બીજા અમને રોજ કહે કે ‘અમને કેમ કશું કહેતાં નથી ?’ મેં કહ્યું, ‘તમને ના કહેવાય.’ એ વધારવા જેવા છે નહીં, એની મેળે જ વધે એવા છે. એ ડહાપણથી ‘ગ્રાસ્પિંગ’ (ગ્રહણ) કરી શકે એમ છે. પણ પ્રતિક્રમણ અમારે કરવું પડે ! એ અજાયબી જ છેને ! મશ્કરી કરવી એ મોટું જોખમબાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (કડક મગજ) હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો, બધાની. સારા-સારા માણસોની, મોટા- મોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી (પા.૩૪૧)એ બુદ્ધિની નિશાની છે. પ્રશ્નકર્તા : મને તો હજુય મશ્કરી કરવાનું મન થયા કરે છે. દાદાશ્રી : મશ્કરી કરવાનાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ, અને એનું જોખમેય એટલું જ છે પછી. અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું. પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતનાં જોખમ આવે ? દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, ‘આને બુદ્ધિ નથી તેનો આ લહાવો લે છે ?’ ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામાવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો, તો એ સમજી ગયો, એટલે પોતે માલિક થાય. પણ આ તો બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે ‘ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે તેને તું સપડાવે છે ? આવી જા.’ એ તો પછી, આપણા સાંધા તોડી નાખે. પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો. દાદાશ્રી : પણ હજુ એનાં પ્રતિક્રમણ કરી શકો ને ! આ અમે તો એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી તે શું કરે ! બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ (!) ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું. કોઈ આમ આમ ચાલતા હોય, ને એને જો હસીએને, મશ્કરી કરીએને, તો ભગવાન કહેશે, ‘આ ફળ લ્યો.’ આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધાં (પા.૩૪૨)દવાખાનાં ઊભાં થયાં છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે. તે અમારુંય આ મશ્કરીનું ફળ આવેલું છે. તેથી અમે કહીએ છીએ ને, ‘મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલેને, ગધેડો છે પણ આફ્ટર ઓલ (અંતે તો) શું છે ? ભગવાન છે.’ હા, છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએને, તો ભગવાન જાણે કે ‘હા, હવે આવી જા ને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.’ પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવાં જ પડેને ? દાદાશ્રી : હા, કરવાં જ પડેને ! છૂટકો જ નહીં. પ્રશ્નકર્તા : દાદા ! આપની સાક્ષીએ જાહેર કરીને, માફી માગીને પ્રતિક્રમણ કરું છું, કહીએ તો ? દાદાશ્રી : ‘દાદા ! આપની સાક્ષીએ’ બોલોને, તોય ચાલે. ‘આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું.’ તો પહોંચી જાય. ન રહે પ્રતિપક્ષી ભાવ ત્યારેઆ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોતને તો મોક્ષ તો સહજાસહજ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેનીય મહીં પોતાની ઉપર ધૂળ પડે એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય. સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એ જરાક સળી કરો તો (પા.૩૪૩)પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. ‘તારામાં નબળાઈ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.’ પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ? દાદાશ્રી : ભાવ ના આવવો જોઈએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીંને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે. ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે, ‘કોઈએ સાંભળ્યું જ નથી ને, આ તો એમને એમ જ છે ને !’ નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે ! ધોવા વાણીના દોષો આમપ્રશ્નકર્તા : જેને ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો ? દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે, ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય. (પા.૩૪૪)પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે. દાદાશ્રી : એટલે તમારી જવાબદારી રહે નહીં. જે બોલે તેનું પ્રતિક્રમણ થાય એટલે જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની. મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા’ને સંભારીને કહેવું કે, ‘હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ. માટે તેની માફી માગું છું. અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો. ‘શુદ્ધાત્મા’ને સંભાર્યા અથવા ‘દાદા’ને સંભાર્યા ને કહ્યું કે ‘આ ભૂલ થઈ ગઈ’ એટલે એ આલોચના, ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે. પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં કલેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું ? દાદાશ્રી : જે કાર્ય પૂરું થવાનું થાય ત્યારે ઇચ્છા ના હોય તોય કાર્ય થયા કરે. ત્યારે થયા પછી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : મસ્કા મારવા એનું નામ સત્ય ? ખોટી હા પૂરાવવી ? દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ. સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલાવી જોઈએ. પ્રશ્નકર્તા : સામાને શું થશે એનો વિચાર કરવા બેસે તો ક્યારે પાર આવે ? (પા.૩૪૫)દાદાશ્રી : એનો વિચાર આપણે નહીં કરવાનો. આપણે તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. બસ એટલું જ કહેવું. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તેથી પ્રતિક્રમણ મૂકવું પડ્યું છે. આ જન્મમાં જ વાણી સુધરેપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ? દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે ! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ. (પા.૩૪૬)[21] છૂટે પ્રકૃતિ દોષો આમઅંતરાય, પૂર્વની ભૂલના પરિણામેપ્રશ્નકર્તા : લક્ષ જ્યારે ચૂકાય ત્યારે આપણી ભૂલ સમજવી કે અંતરાય સમજવા ? દાદાશ્રી : ભૂલ તો એવું છેને કે અંતરાય આવ્યા તે ઊભા કરેલા છે. એટલે બધી ભૂલો આપણી જ કહેવાય છે. અંતરાય કેમ આવ્યા ? હવે એ અંતરાય ધીમે ધીમે ઓછા થઈ જશે. એટલે ભૂલનો ખેદ કરવા જેવું નથી. પ્રશ્નકર્તા : અંતરાય આપણી ભૂલોનાં પરિણામ છે ? દાદાશ્રી : પહેલાં ભૂલો કરેલી તેનાં આ બધાં પરિણામ છે. તે તો અંતરાયથી જ ભોગવવાં પડે ને ? પ્રશ્નકર્તા : પછી તેનો ખેદ ના કરવો ને ? દાદાશ્રી : ના, ના. અફસોસ કોણ કરનારા ? આત્મામાં અફસોસનો ગુણ જ નથી ને ! જાગૃતિ વધારે રાખવી જરા, તે ઘડીએ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા બોલીએ એટલે જાગૃતિ આવી જાય. પ્રશ્નકર્તા : ખેદને બદલે પ્રતિક્રમણ ઘટે ? દાદાશ્રી : એટલાં બધાં પ્રતિક્રમણ ના થાય માણસને. બધાનું ગજું નહીં ને. બધા તો વ્યવહારથી કરે એટલું જ બહુ થઈ ગયું. બહુ પ્રતિક્રમણ ના થાય. આખો દહાડો કામકાજ બધાં જાતજાતનાં હોય. (પા.૩૪૭)અહીંનું પોઇઝન પણ પ્રતિક્રમણવાળુંપ્રશ્નકર્તા : આ દુઃખ જે કાયમ છે એમાંથી ફાયદો કેમનો ઉઠાવવાનો ? દાદાશ્રી : આ દુઃખને વિચારવા માંડે તો દુઃખ જેવું નહીં લાગે. દુઃખનું જો યથાર્થ પ્રતિક્રમણ કરશો તો દુઃખ જેવું નહીં લાગે. આ વગર વિચારે ઠોકમઠોક કર્યું છે કે આ દુઃખ છે, આ દુઃખ છે ! એટલે આનો પ્રતિકાર ના કરાય. પ્રતિકાર ભૂલથી થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિકારનો વિચાર આવ્યો હોય તોય પ્રતિક્રમણ કરવું પડે. આ સત્સંગનું પોઇઝન પીવું સારું છે પણ બહારનું અમૃત પીવું ખોટું છે. કારણ કે આ પોઇઝન પ્રતિક્રમણવાળું છે. અમે બધા ઝેરના પ્યાલા પીને મહાદેવજી થયા છીએ. બીજાને અડચણ થાય એ બધાનું પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટવાળાને કર્મ બંધાય ખરું, જ્ઞાન લીધા પછી ? દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્નકર્તા : છેતરાયા પછી પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : હા, આપણે તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. મહારાજનો દોષ નથી. એ તો એમની જગ્યાએ છે. આપણી ભૂલ છે કે એ દુકાને ગયા. એટલે આપણે એમને છંછેડ્યા એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ. આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. ગુનો ન થવો જોઈએ. પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ પણ સામો કર્મ બાંધે છેને ? દાદાશ્રી : આપણે મનમાં પ્રતિક્રમણ કરી નાખવું. પછી સામાનું જોવું નહીં. (પા.૩૪૮)સૂક્ષ્મતા, જ્ઞાનીનાં પ્રતિક્રમણોનીપ્રશ્નકર્તા : આપની પાસે ખૂબ આવવાનું વિચારીએ પણ અવાતું નથી. દાદાશ્રી : તમારા હાથમાં શું સત્તા છે ? તો પણ આવવાનું વિચારે, અવાતું નથી એનો મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને કહીએ કે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરોને, જલદી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન કરો. આવી ભૂલચૂક થઈ, માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું. અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે અને કાર્ય નથી થતું ? ભાવ શાથી આવે છે કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ! (બનવાનું તેના પડઘા પહેલેથી પડે.) પ્રશ્નકર્તા : આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ? દાદાશ્રી : આ મારા અહંકારને લઈને આ ચિંતા થાય છે. હું કંઈ આનો કર્તા ઓછો છું ? એટલે દાદા ભગવાન ક્ષમા કરો. એનું કંઈક તો કરવું પડેને ? ચાલે કશું ? પ્રશ્નકર્તા : આપણે બહુ ઠંડી પડી, બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો જ્યાં રાગ-દ્વેષ થતો હોય, ‘ફાઈલ’ હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પણ જેણે ખારી કરી તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે. પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ, ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ‘ડિસ્ચાર્જ’ રૂપે છે પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ ? તેનો દોષ લાગે. (પા.૩૪૯)વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે, ‘દાદા, મને વાંચવાની શક્તિઓ આપો.’ અને જો કોઈવાર ભૂલી જવાય તો ઉપાય કરવો. બે વાર નમસ્કાર કરવા અને કહેવું કે ‘દાદા ભગવાન, મારી ઇચ્છા નથી છતાંય ભૂલી ગયો તો તેની માફી માગું છું. તે ફરી આવું નહીં કરું.’ ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ. અમે બે જણને છૂટાં પાડીએ તેનો દોષ બેસે, તેથી પ્રતિક્રમણ કરીએ. પ્રશ્નકર્તા : તમે કર્તાભાવથી ના કરો તોય ? દાદાશ્રી : ગમે તે ભાવથી કરે પણ સામાને દુઃખ થાય તેવું કર્યું એટલે પ્રતિક્રમણ કરવું પડે. ‘ડિસ્ચાર્જ’માં જે અતિક્રમણો થયેલાં હોય છે તેનાં આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુઃખ પહોંચાડે તેવા ‘ડિસ્ચાર્જ’નાં પ્રતિક્રમણો કરવાનાં. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેનાં પ્રતિક્રમણ ના હોય. પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે. પૂગે, સાચાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે ? દાદાશ્રી : સામી વ્યક્તિને પહોંચે. એ નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે, એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણાં પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે, જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય. (પા.૩૫૦)પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ’ ન થાય ? દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી. ચંદુભાઈ કરે ને તમે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો. નિજસ્વરૂપની પ્રાપ્તિ પછી સાચાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ. આપણું પ્રતિક્રમણ એટલે શું ? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીએ તે આપણું પ્રતિક્રમણ છે. પ્રશ્નકર્તા : ચારિત્રમોહ જોવામાં ભૂલ થાય ખરી ? રોજ પ્રતિક્રમણ કરીએ ને પછી એની એ જ ભૂલ કરે કે ના કરે ? દાદાશ્રી : જે રોજ-રોજ ભૂલ થાય એને ઓળખી લેવી. એ જ ખરી. પ્રતિક્રમણ કરીએ તોય ખસે નહીં. એક-એક પડ તૂટતું જાય. એક કલાક પ્રતિક્રમણ કરો તોય સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તુર્ત જ રોકડું થઈ જાય તે ભગવાન પદમાં આવી જાય તેમ છે. એક-એક પ્રતિક્રમણમાં રૂપ ભરેલું હોય છે ને અપ્રતિક્રમણ એ કદરૂપું નિશાન છે. સજીવન પ્રતિક્રમણપ્રશ્નકર્તા : સમૂહમાં બેસીને પ્રતિક્રમણ કરવું જોઈએ ? દાદાશ્રી : એવું તો કશું નહીં. એકલા કરીએ તોય ચાલે. સૂતા સૂતા કરીએ તોય ચાલે, મનમાં કરીએ તોય ચાલે. પ્રતિક્રમણ કેવું હોય ? સજીવન હોય. આ તો મૃત પ્રતિક્રમણ. કોઈ દોષ ઘટ્યો નહીં, ઊલટા દોષ વધાર્યાને. પ્રતિક્રમણ ચાલુ રહ્યાં. લોકોને આઠ-આઠ વર્ષથી પ્રતિક્રમણ કરે છે ને એકેય દોષ ઘટતો નથી. (પા.૩૫૧)પ્રતિષ્ઠિત આત્મા થયો પ્રતિક્રમણ આત્માપ્રશ્નકર્તા : ઊંઘમાંથી જાગતાં જ પ્રતિક્રમણ શરૂ થાય છે. દાદાશ્રી : આ પ્રતિક્રમણ આત્મા થયો. શુદ્ધાત્મા તો છે પણ આ પ્રતિષ્ઠિત આત્મા તે પ્રતિક્રમણ આત્મા થઈ ગયો. લોકોને કષાયી આત્મા છે. કોઈ એકુય પ્રતિક્રમણ કરી શકે તેમ નથી વર્લ્ડમાં. જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન-વાણી ચોખ્ખાં થતાં જાય. પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું. જેટલા દોષ દેખાયા એટલા કમાયા. એટલાં પ્રતિક્રમણ કરવાનાં. નથી જોખમદારી ‘એવા’ પ્રકૃતિદોષમાંપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે અંતરાય કર્મ છે ? દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિદોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છેને ? પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી. દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને નાય પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો નાય વાગે, આને અંતરાય ના કહેવાય. (પા.૩૫૨)નિકાચિત કર્મમાં ઊંડાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : ‘સમભાવે નિકાલ’ કરવાનો દ્રઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે, એ શાથી ? દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે ? સોએક જગ્યાએ ? પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે. દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય. ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા ‘ફોર્સ’થી નિકાચિત થયું હોય તેટલાં જ ‘ફોર્સ’વાળા પ્રતિક્રમણથી એ ધોવાય. બોજો, જૂની ભૂલોનોપ્રશ્નકર્તા : જૂનું જે બધું થઈ ગયું હોય ને તેનો બોજો રહે. દાદાશ્રી : જૂનાનો બોજો આપણે તો આમ બાજુએ નાખી દેવાનો. બોજો આપણે શું કરવા રાખીએ ? આપણને જો હજુ ટચ થતું (અડતું) હોય તો બોજો રહે. પ્રશ્નકર્તા : પેલું જે જૂની ભૂલો હોયને, એનો બોજો લાગે. દાદાશ્રી : કેટલા વર્ષ પહેલાંની ? પ્રશ્નકર્તા : મહિના, બે મહિના પહેલાની. દાદાશ્રી : એમાં શી મોટી ભૂલો તે ? પ્રતિક્રમણ કરી નાખવાનું, બીજું શું કરવાનું ? પ્રશ્નકર્તા : આમ પ્રતિક્રમણ કરીએ પણ ભૂલ એક્ઝેક્ટ દેખાય. દાદાશ્રી : એ તો પ્રકૃતિ દેખાય. પ્રકૃતિ જાય નહીં. પ્રકૃતિ એટલે શું કે ડુંગળીની પેઠ હોય. એક ભૂલ નીકળી, પાછી બીજી નીકળે, ત્રીજી (પા.૩૫૩)નીકળે, એની એ જ ભૂલ નીકળ્યા કરે પણ પ્રતિક્રમણ તો કર્યે છૂટકો. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો કરે પણ પોતે આનાથી છૂટો ના થઈ જાય, ત્યાં સુધી બોજો રહે. દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અતિક્રમણથી આ ઊભું થયું છે ને પ્રતિક્રમણથી એ નાશ થાય છે, બસ ! પ્રશ્નકર્તા : આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું. આવી ભૂલ ફરી નથી જ કરવી. એવું હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ભાવ સાથે નક્કી કરે. છતાંય ફરી એવી ભૂલ થાય કે ના થાય ? એ પોતાના હાથમાં ખરું ? દાદાશ્રી : એ તો થાય ને પાછી. એવું છે ને આપણે અહીં આગળ એક દડો લાવ્યા અને મને આપ્યો, હું અહીંથી નાખું. મેં તો એક જ કાર્ય કરેલું. મેં તો એક જ ફેરો દડો નાખ્યો. એટલે હું કહું કે હવે મારી ઇચ્છા નથી. તું બંધ થઈ જા. તો એ બંધ થઈ જશે ? પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : તો શું થશે ? પ્રશ્નકર્તા : એ તો ત્રણ-ચાર-પાંચ વખત કૂદશે. દાદાશ્રી : એટલે આપણા હાથમાંથી પછી નેચરના હાથમાં ગયો. પછી નેચર જ્યારે ટાઢો પાડે ત્યારે, તે એવું આ બધું છે. આપણી જે ભૂલો છે, એ નેચરના હાથમાં જાય છે. પ્રશ્નકર્તા : નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે ? દાદાશ્રી : બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો સામા માણસને એટલી બધી અસર થાય છે કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ (પા.૩૫૪)જાય, બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ. ચોખ્ખો થયેલો, ‘હું શુદ્ધાત્મા છું’ એવા ભાનવાળો. તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ તો અમારું હથિયાર છે મોટામાં મોટું ! પ્રકૃતિ સુધરે ?‘જ્ઞાન’ ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે ‘ના, ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો તેનું પ્રતિક્રમણ કરો.’ અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે. મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, ‘મેલ છાલ, અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધારને !’ પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી ! આટલું બધું આ ‘સાયન્સ’ છે ! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી હું શું કહેવા માગું છું તે ? પ્રશ્નકર્તા : હા, સમજણ પડી. દાદાશ્રી : શું સમજણ પડી ? પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું. દાદાશ્રી : એવું નહીં. તાદાત્મ્ય થઈ જાય તોય આપણે તરત કહેવું, ‘આમ ના હોવું જોઈએ.’ આ તો બધું ખોટું છે. પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ? પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે. (પા.૩૫૫)દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ? પ્રશ્નકર્તા : રહે છે, દાદા. એ કહેવાય પ્રત્યાખ્યાનપ્રશ્નકર્તા : ભૂલનું પ્રતિક્રમણ હાર્દિક કરે, બહુ સારું કરે, પણ પાછો નિશ્ચય બહુ સારો ન કર્યો તો ? દાદાશ્રી : નિશ્ચય એ પ્રત્યાખ્યાન બરાબર છે. નિશ્ચય કરે તો ઉત્તમ વસ્તુ છે. ના નિશ્ચય કરે ને ફક્ત પ્રતિક્રમણ કરે એટલે પેલી ભૂલ તો ભૂંસાઈ ગઈ પછી ફરી આવશે એટલે ફરી ભૂંસી નાખશે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે નહીં કરું એવું. પ્રત્યાખ્યાનનો અર્થ એ ફરી નહીં કરું એટલે નિશ્ચય કરેને, એ ઉત્તમ વસ્તુ છે. (પા.૩૫૬)[22] નિકાલ, ચીકણી ફાઈલોનોહિસાબ પ્રમાણે ચૂકવાયપ્રશ્નકર્તા : એમની ફાઈલ નંબર એકને હજી રાગ વર્તે છે ને ? એ રાગને લઈને બધું ઊભું થાય. દાદાશ્રી : શું રાગ વર્તે છે ? પ્રશ્નકર્તા : આ મારો ભાઈ છે. તો ભાઈનું કો’ક વિરુદ્ધ બોલે તો એની સામે જરાક... દાદાશ્રી : એ તો બધો ભરેલો માલ છે, એ થાય. પણ પછી પ્રતિક્રમણ કરે એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ કોનું નામ કહેવાય ? પ્રતિક્રમણ કરતો હોય એ શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ હેતુ માટે પ્રતિક્રમણ કરે છે ? આમાં એનો હેતુ શો છે ? શુદ્ધ ઉપયોગનો. તમારીય બે નંબરની ફાઈલ જબરી જ છે ને ? પ્રશ્નકર્તા : આપણે જબરી માનતા જ નથી. આપણી જબરી છે જ નહીં. અને ફાઈલને ગા ગા કરીએ તો આપણે દોષમાં પડીએ કે નહીં ? દાદાશ્રી : પડીએ ! ફાઈલને શું કરવા ગા ગા કરીએ ? આપણે શું લેવાદેવા ? આ ફાઈલ. આ તો કર્મના ઉદય પ્રમાણે હિસાબ ચૂકવાયા કરે. જેટલું ઋણાનુબંધ છે એટલું ચૂકવાયા કરે. ચીકણાં કર્મોનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરતાં કરતાં પણ અતિક્રમણ થાય. (પા.૩૫૭)દાદાશ્રી : તો પ્રતિક્રમણની દવા આપેલી છે. અરે, કશું ના થાય તો કશું વાંધો નહીં. આલોચના નહીં કરે તેય મેં માફ કરી છે. આ હું જાણું એ આજના લોકોને કળ વળતી નથી. શું આલોચના કરવાનાં છે ? એના કરતાં પ્રતિક્રમણ કરવા દો ને ! પ્રશ્નકર્તા : એમાંય પ્રત્યાખ્યાન કરવાનું છે ને ? દાદાશ્રી : અરે, પ્રત્યાખ્યાનેય નહીં કરે તો ચાલશે. અતિક્રમણ કર્યું ને પ્રતિક્રમણ કરશે, આજનાં કળ વગરનાં માણસો. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન આખું ના થાય તો પ્રતિક્રમણ કરે તો બહુ થઈ જાય. ચીકણી ફાઈલના પ્રતિક્રમણ કર કર કરીએ, દોષનાં પ્રતિક્રમણ કરીએ. એટલે આમ એની ડિઝાઈન રહે, પણ આમ હાથ અડે એટલે ઊડી જાય, પડી જાય. જે ચીકણું હતું તે પ્રતિક્રમણ કરવાથી ચીકાશ ના રહે એમાં પછી. ચીકાશ ‘હપૂચી’ ઊડી જાય. નહીં તો આમ હાથ ઘસ ઘસ કરીએ તોય એ ના ખસે. પ્રશ્નકર્તા : એટલે ચીકણાં કર્મોનો ક્ષય કરવા માટે પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : બીજો ઉપાય જ નથી, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન સિવાય. આલોચના એટલે દાદાને યાદ કરીને કહેવું કે ‘મારી આ ભૂલ થઈ છે અને તે હવે ફરી નહીં કરું’ એટલું પ્રત્યાખ્યાન કરી લે એક ફેરો, બસ. આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. ભાવ જ કરવાના સમભાવે નિકાલનાઘણા માણસો મને કહે છે કે, ‘દાદા, સમભાવે નિકાલ કરવા જઉ છું પણ થતું નથી !’ ત્યારે હું કહું છું, ‘‘અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય, તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહેને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પતે તો તે ‘નેચર’ના આધીન છે.’’ (પા.૩૫૮)અમે તો આટલું જ જોઈએ કે, ‘મારે સમભાવે નિકાલ કરવાનો છે.’ એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું તે અમારે જોવાનું નથી. આ નાટક જોવા ક્યાં સુધી બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે સમભાવે નિકાલ ના પણ થાય. હોળી સળગી, નહીં તો આગળ ઉપર સળગાવીશું. આમ ફૂટાફૂટ કરવાથી ઓછી સળગે ? એનો ક્યારે પાર આવે ? આપણે દીવાસળીઓ સળગાવવી, બીજું સળગાવ્યું, પછી આપણે શું કામ ? મેલ પૂળો ને આગળ ચાલો. આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે, કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરો કહ્યું છે અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા ઉપર ઊભું રહેવાય જ નહીંને ! કિનારા પર જોખમ છે. એનાં પ્રતિક્રમણોની નથી જરૂરપ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે એનો તો આપણે સમભાવે નિકાલ કરી શકીએ પણ આ ફાઈલ નંબર એકનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવોને ? કારણ કે ફાઈલ નંબર એકના જ બધા ડખા હોય છે. દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતા રહે, ફાઈલ જોવાથી જ. વાંકો હોય કે ચૂંકો હોય, એને ફાઈલની સાથે ભાંજગડ બહુ ના હોય. એને જોવાથી જ જતા રહે. સામો ફાઈલવાળો ક્લેઈમ માંડે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. આમાં કોઈ દાવા માંડનારો કોઈ નહીં ને ! દાવો માંડનાર કોઈ નહીં એટલે એને જોવાથી જ જતા રહે. ખરાબ વિચાર મનમાં આવતા હોય, થોડા આડા આવતા હોય, બુદ્ધિ ખરાબ થતી હોય, એ બધું જોયા જ કરવાનું, જે જે કાર્ય કરતા હોય તેનો વાંધો નહીં, આપણે તો એ જોયા કરવાનું. આ તો સરળમાં સરળ મોક્ષમાર્ગ છે, સહેલામાં સહેલો મોક્ષ ! (પા.૩૫૯)પ્રશ્નકર્તા : એ જોયા કરવાનું એટલે એની સાથે સહમત નહીં થવાનું ? દાદાશ્રી : સહમત તો હોય જ નહીં. જોયા કરનાર સહમત તો હોય જ નહીં. આપણે આ હોળી જોઈએ તો માણસ દાઝે ? પ્રશ્નકર્તા : ના દાઝે. દાદાશ્રી : હોળી મોટી જબરજસ્ત કરી હોય, પણ તે આંખે જુએ તો આંખને શું ? પ્રશ્નકર્તા : પણ દાદા, આપણાથી ડખો થયો એને આપણે જોયો-જાણ્યો, પણ આપણા આ ડખાથી સામેવાળાને દુઃખ થયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે ને ? દાદાશ્રી : એ તેનું પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ કેમ કર્યું ? સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ. પ્રશ્નકર્તા : મારી દીકરી રોજ પ્રતિક્રમણ કરે છે છતાંય એનું સુધરતું નથી. દાદાશ્રી : એ તો બહુ માલ ભરેલો, જબરજસ્ત માલ ભરેલો. પ્રતિક્રમણ કરે એ જ પુરુષાર્થ. પ્રશ્નકર્તા : બહુ માલ ભર્યો છે એમ કહીએ તો એ બચાવ નથી થઈ જતો ? દાદાશ્રી : ના, ના, આમાં બચાવ હોય જ નહીંને ! બચાવ ના હોય. જગત આખું પ્રતિક્રમણ ના કરે. એક તો ગોદો મારે ને પછી પાછું કહે છે કે ‘મેં ખરું કર્યું છે’. સામાની જ ભૂલ દેખાયપ્રશ્નકર્તા : દાદા, ઘણીવાર એવું થાય છે કે મારી ભૂલ જ નથી. કો’ક વાર મારી ભૂલની મને ખબર પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ (પા.૩૬૦)જ થતી નથી, ‘એમનો’ જ વાંક છે એવું લાગે. દાદાશ્રી : તને એવું લાગે ? પછી પ્રતિક્રમણ કરતી વખતે ? પ્રશ્નકર્તા : પણ પછી ‘એમને’ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણા નિમિત્તે આવું ના થવું જોઈએ. દાદાશ્રી : પણ ‘મારી ભૂલ થઈ’ એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : પણ મને મારી પોતાની ભૂલ લાગતી જ નથી. મને તો એમની જ ભૂલ લાગે. દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ થાય જ નહીંને ! આપણી ભૂલ થાય તો કો’કને દુઃખ થાય. પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે તેથી આવું તેમને લાગે છે. દાદાશ્રી : એવી પ્રકૃતિ ગણાય નહીં. આ બધા લોક સારી પ્રકૃતિ છે કહે છે ને તું એકલી જ કહું છું કે ખરાબ છે. એય ઋણાનુબંધ છે, હિસાબ છે. પ્રશ્નકર્તા : મને એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે. દાદાશ્રી : એથી કરીને એ તારી ભૂલ છે એમાં. ભૂલ તારી છે. આ મારાથી મારા માબાપને કેમ દુઃખ થયું ? એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ ના થવું જોઈએ. હવે સુખ આપવા આવી છું, એવું મનમાં હોવું જોઈએ. મારી એવી શી ભૂલ થઈ કે માબાપને દુઃખ થયું ? ત્યારે સંસાર છૂટેદોષો દેખાતા બંધ થાય તો સંસાર છૂટે. આપણને ગાળો ભાંડે, નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે. નહીં તો સંસાર છૂટે નહીં. (પા.૩૬૧)હવે બધા લોકોના દોષ દેખાતા બંધ થઈ ગયા ? પ્રશ્નકર્તા : હા, દાદા. કોઈવાર દોષ દેખાય તો પ્રતિક્રમણ કરી લઉં. સત્સંગથી ભંગાય ભૂલોઆપણી ભૂલ ના ભંગાય તો તે સત્સંગ કરેલો કામનો જ નથી. સત્સંગનો અર્થ જ ભૂલ ભાંગવી. આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થવું જોઈએ. જો દુઃખ થાય તો આપણી ભૂલ છે અને ભૂલને ભાંગવી. અને જો ભૂલ ના જડતી હોય તો આપણા કર્મનો ઉદય છે માટે માફી માંગ માંગ કરવી. જો સામો સમજુ હોય તો પ્રત્યક્ષ માફી માંગવી ને સામો અવળો ચઢી જતો હોય તો ખાનગીમાં માફી માંગ માંગ કરવી. પ્રશ્નકર્તા : સંસારમાં ફાઈલોનો નિકાલ કરવામાં ક્યારેક એટલા અસ્તવ્યસ્ત થઈ જઈએ છીએ કે પ્રતિક્રમણ-સામાયિકનો વિચાર સુદ્ધાં આવતો નથી. તે પોલ ખરી ? દાદાશ્રી : એને પોલ ના કહેવાય. પોલ એને કહેવાય કે આપણી ઇચ્છા હોય ને ના કરીએ. પ્રશ્નકર્તા : ભૂલો થઈ તેના ગમે ત્યારે પ્રતિક્રમણ કરવાં પડશે ને ? દાદાશ્રી : કંઈ વાંધો નહીં. ભૂલો જાણી તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો કોઈને બહુ દુઃખ થયું હોય ત્યારે કરવું. આપણો આ અક્રમ માર્ગ, તે કર્મો ખપાવ્યા વગરનો માર્ગ, એટલે આ નિર્બળતા ઊભી થયા વગર રહે નહીં. હવે જેને કોઈને, એકલી માનસિક નિર્બળતા ઊભી થાયને, તો મનનું એકલું પ્રતિક્રમણ કરવાનું. બધું લાંબું પ્રતિક્રમણ કરવાનું રહ્યું નહીં ને પ્રતિક્રમણ કર્યું એટલે એ ચોખ્ખું થઈ ગયું. પણ જે માલ ભરેલો છે એ નીકળ્યા વગર રહે નહીંને ! નિર્બળતા ઊભી થાય છે છતાં મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરે એ ગુનેગાર નથી. પણ પ્રતિક્રમણ કરવાથી એ દાદાની આજ્ઞામાં જ છે. આ તો એકદમ શક્તિ ક્યાંથી લાવે ? તે અતિક્રમણ તો થાય (પા.૩૬૨)પણ પ્રતિક્રમણ કરી લઈએ. છતાં આપણું જ્ઞાન કેવું છે કે ગમે તેવા સંજોગોમાંથી બચી શકે ખરો, તે એનું નામ જ્ઞાન કહેવાય. એવું છે કે આપણો આ વીતરાગ માર્ગ છે, એમાં ગમતું હોય ત્યાં સુધી ક્રમણ થાય. પણ ના ગમતું થયું એટલે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. આજ્ઞા ચૂક્યા ? કરો પ્રતિક્રમણરસ્તો આ છે કે ‘દાદાની આજ્ઞામાં રહેવું છે’ એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે. અને જેટલું આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તોય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે, તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાનેય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો ઘરનાં માણસો એના પક્ષમાં જ હોય. ‘પોતે’ જજ ને ‘ચંદુ’ આરોપીજે પુદ્ગલ નીકળતું હોય તે, કો’કની જોડે વઢંવઢા કરતું હોય, મારંમાર કરતું હોય તોય તમે તેને જોયા કરશો તો તમે તેના જોખમદાર નથી. કોઈ કહેશે કે જ્ઞાન લીધા પછી આ કેમ મારંમાર કરે છે હવે ? તો આપણે શું કહેવાનું ? જેવા ભાવે બંધ પડ્યો હતો તેવા ભાવે નિર્જરા થાય છે. તે નિર્જરાને જોયા કરો. છતાં નિર્જરામાં એક બાબત એવી હોવી જોઈએ કે કોઈની પર અતિક્રમણ ન થવું જોઈએ. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. તે પ્રતિક્રમણ ચંદુભાઈએ કરવાનું. આપણે કશું કરવાનું નહીં. જજને તો કશું કરવાનું છે નહીં. જે આરોપી છે, તેની પાસે જ કરાવવાનું. જે ખાય તે આરોપી. જે ખાય તે સંડાસ જાય. જજને તો ખાવાનું ના હોય, સંડાસ જવાનું ના હોય, જજ તો જજમેન્ટ જ આપ્યા કરે. આરોપીનો ગુનો મારો જ ગુનો છે, એવું જજ કોઈ દહાડો બોલે નહીં. આપણા મહાત્મા કોઈ દહાડો બોલી જાય તો કેવી ભૂલ થઈ ગણાય ? બહુ ઝીણી વાત છે. સૂક્ષ્મ રીતે છે. (પા.૩૬૩)કચરો માલ ભરેલો છે તે નિર્જરા થયા કરે. એ પછી આવક નહીં એટલે હલકા થયા કરે. પાછો સાંજે ભારે લાગે, પાછો બીજે દહાડે હલકો થાય, પાછો સાંજે ભારે લાગે, પાછો હલકો થાય. આમ કરતાં કરતાં નિર્જરા થતો થતો થતો માલ ખાલી થાય. ટાંકી ખાલી ક્યારે થઈ રહે ?પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી મોક્ષ છે ? અત્યારે મોક્ષ માટે પ્રતિક્રમણ કરવાની જરૂર ? દાદાશ્રી : અતિક્રમણ કરે તો જ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. બાકી પ્રતિક્રમણની જરૂર નથી. અતિક્રમણ કરે એવો સ્વભાવ હોય તો જ પ્રતિક્રમણ કરવાનું. અને તેય સ્વભાવ ક્યાં સુધી રહે છે ? ગમે એટલો તોફાની માણસ હોય, તોય અગિયાર કે ચૌદ વર્ષ સુધી એની કોઠી ભરેલી હોય છે. પછી તો એ બધું ખલાસ થઈ ગયેલું હોય છે. ભરેલી કોઠી કેટલા દહાડા ચાલે ? ટાંકી ભરેલી છે, બીજું નવું મહીં રેડીએ નહીં તો એ કેટલા દહાડા ચાલે ? પણ પ્રતિક્રમણ કરવું સારું, અતિક્રમણ થાય તો. ડખો ‘વ્યવસ્થિત’ છે ?તારે બહુ ડખો થઈ જાય છેને ? પ્રશ્નકર્તા : કો’ક વખત થઈ જાય. દાદાશ્રી : કો’ક વખત માણસ મરી જાય તો પછી ? પ્રશ્નકર્તા : ડખો થઈ જાય એ વ્યવસ્થિતને આધીન હશે ને ? દાદાશ્રી : ‘થઈ ગયું’ એ ભાગ વ્યવસ્થિતને આધીન, પણ થવાનું છે એ વ્યવસ્થિતને આધીન નથી. થઈ ગયું એની ચિંતા ના કરો. એનું પ્રતિક્રમણ કરો. ખોટું થાય તે અને જેણે કર્યું હોય તેને કહો કે, ‘પ્રતિક્રમણ કર.’ ચંદુભાઈએ કર્યું, તો ચંદુભાઈને કહીએ કે, ‘તું પ્રતિક્રમણ કર.’ (પા.૩૬૪)પ્રશ્નકર્તા : આપણે વ્યવસ્થિતને તાબે મૂકી દઈએ છીએ તો આપણે પુરુષાર્થ શું કરવાનો ? દાદાશ્રી : પુરુષાર્થ તો આ આપણે ‘ચંદુભાઈ’ શું કરે છે એ જોયા કરવું, એ આપણો પુરુષાર્થ. ચંદુભાઈનું પૂતળું શું કર્યા કરે છે, આખો દહાડો એ જોયા કરવું એ પુરુષાર્થ ! તે જોયા કરતાં કરતાં એમ વચ્ચે એવું કરાય ખરું કે ‘કેમ ચંદુભાઈ,’ ‘તમે દીકરા જોડે આટલું કડક થઈ ગયા છો ?’ માટે તમે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. એવું વચ્ચે વચ્ચે કરાય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો પાછું થઈ જાય છે. દાદાશ્રી : પ્રતિક્રમણ થઈ જાય છે તે જ કહું છું ને ! પ્રતિક્રમણ જોડે થઇ જ જાય છે, આપમેળે થઈ જાય છે. એટલે જોયા જ કરવાનું છે. પ્રતિક્રમણ થઈ રહ્યું છે તે આપણે જોયા કરવાનું. ‘શું બન્યું’, જોયા કરોઆપણે આ ભાવકર્મ આમાં છે જ નહીં. આપણે તો ભાવકર્મથી મુક્ત થઈ ગયેલા છીએ. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી મુક્ત શુદ્ધાત્મા થયેલા છીએ. એટલે તમે શુદ્ધાત્મા અને આ ‘ચંદુભાઈ’ બે જુદા છે. પ્રકૃતિને જોયા કરવી એનું નામ પુરુષ. પુરુષ થઈને પુરુષાર્થ કરે એ મોક્ષનો પુરુષાર્થ કહેવાય. ગમે તેવું કાર્ય કર્યું હોય અને ફળ ભયંકર આવ્યું હોય પણ એ વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેતો હોય તો પ્રતિક્રમણ કરશો નહીં. વ્યવસ્થિતનો અર્થ શો ? ‘ચંદુલાલ શું કરે છે, તેને જોયા જ કરવાનું’ એ વ્યવસ્થિતનો અર્થ. બીજું ‘ચંદુલાલે’ કો’કનું બે લાખનું નુકસાન કર્યું તેય જોયા કરવાનું. આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. આવું કેમ કર્યું ? એનું પ્રતિક્રમણ કરવાનું. એકચ્યુઅલી (ખરેખર) આ બધાને ના સમજણ પડે. વ્યવસ્થિત એટલે જે છે એ જ કરેક્ટ, પણ (પા.૩૬૫)જોયા કરે એટલે તમે છૂટા ! પ્રતિક્રમણ કરતાં જ સામા પર અસરપ્રશ્નકર્તા : સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે, ત્યાં પ્રતિક્રમણનો અવકાશ નથી રહેતો ? દાદાશ્રી : પ્રતિક્રમણનો અવકાશ ક્યારે રહે, કે સામા સંયોગને દુઃખ થતું હોય ત્યારે આપણે કહેવું પડે કે, ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો. ભઈ વેર બાંધશે, ભાઈની જોડે અતિક્રમણ થયું લાગે છે. ભાઈનું મોઢું આપણી જોડે કડક લાગે છે તે માટે પ્રતિક્રમણ કરી લો.’ ત્યારે એ કહેશે, ‘એક પ્રતિક્રમણ કરું ?’ ત્યારે કહીએ, ‘ના, પાંચ-પચીસ-પચાસ કર, જેથી કરીને કાલે મોઢું સારું દેખાય.’ આપણે પ્રતિક્રમણ કરીએ અને પેલાનું મોઢું સારું દેખાય, બીજે દા’ડે. એક ફેરો કરી જોઈએ. એવું તમને અનુભવમાં આવેલું કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ ? તો આવો અનુભવ ચાખ્યા પછી આવો રહ્યો છે તું ? પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ એ સામી વ્યક્તિને પહોંચે ? દાદાશ્રી : આમ એને ખબર ના પડે. એને ખબર પડે કે નાય પડે, પણ એને અસર કરે. એનો આપણા તરફનો ખરાબ ભાવ નરમ થતો જાય. અને આપણે જો મનમાં ખૂબ એની પર ચિઢાયા કરીએ તો એ બાજુ એનો વધતો જાય. પેલોય વિચારે કે આટલા બધા મારા ભાવ કેમ ખરાબ થતા જાય છે એની પર ? પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીં ને બીજા જન્મમાં ? દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં (પા.૩૬૬)ને અહીં પ્રતિક્રમણ એટલાં બધાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં. ઘરની ફાઈલોનાં પ્રતિક્રમણહવે તારે આ પ્રતિક્રમણ થાય છે ખરાં ? પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : એમ ? પ્રશ્નકર્તા : આ ઘરની જ ફાઈલો મુખ્ય છે ને, દાદા ? દાદાશ્રી : તારે ઘરની ફાઈલો કેટલી છે ? પ્રશ્નકર્તા : આ બે જ ફાઈલો છે. સહુથી વધારે પ્રતિક્રમણ આનાં જ કરવાનાં. દાદાશ્રી : તને એક જ બાબો છે ને ? પ્રશ્નકર્તા : એ બાબાના જ મુખ્ય કરું છું એ, અને ફાઈલ નંબર બે, એનાં સૌથી વધારે પ્રતિક્રમણ. દાદાશ્રી : એમ ? પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણ બહુ કર્યા. એટલે બાબો તો એકદમ શાંત પડી ગયો. સાવ શાંત પડી ગયો ને એકદમ સહકાર આપે છે. મેં મારા ભાઈ જોડે પણ પ્રતિક્રમણ કર્યા એટલે બધાનું પરિવર્તન થયું. પ્રતિક્રમણ રોજ કરું છું. દાદાશ્રી : પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે. એવું લોકોને અનુભવમાં આવ્યું. એટલે પછી છોડે નહીં ને ! ‘ધીસ ઈઝ ધ કેશ (રોકડ) બેન્ક.’ પ્રતિક્રમણ એ તો ‘કેશ બેન્ક’ કહેવાય, તરત ફળ આપનારું. તમારે પ્રતિક્રમણ બહુ કરવાં પડે છે ખરું ? પ્રશ્નકર્તા : ખાસ તો ઘરનાંનાં જ કરવાં પડે છે. (પા.૩૬૭)દાદાશ્રી : પ્રતિક્રમણ કેટલાં થાય છે ? પ્રશ્નકર્તા : પચાસ-સો થાય. અમારા ઘરની એક-બે ચીકણી ફાઈલો છે એનાં કરું છું. પ્રતિક્રમણ ‘એવું’ કરોપ્રશ્નકર્તા : મનથી, વાણીથી, વર્તનથી, જૂઠું બોલવાથી જે બધું દુઃખ પહોંચ્યું છે, એના માટે આપની સાક્ષીએ બધા પ્રતિક્રમણ કરીએ તો તે ધોવાઈ જાય ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું કોને કહેવાય ? કે તમે ઊઘાડા કરો, એમની રૂબરૂમાં કરો કે ખાનગીમાં કરો પણ પ્રતિક્રમણ બોલે (સામાને અસર થાય) ત્યારે જાણવું કે આપણે પ્રતિક્રમણ કર્યું. હા, અમેય ખાનગીમાં પ્રતિક્રમણ કરીએ પણ એ પ્રતિક્રમણ ત્રીજે દા’ડે બોલે તો અમને માલમ પડે (કે સામાને અસર પહોંચી). તમે એવું મનમાં પ્રતિક્રમણ કરો કે એમને ખબર ના હોય, છતાં એમને તમારા પર આકર્ષણ ઊભું થાય. શુદ્ધાત્માને પહોંચે એની અસર ?પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ, આ મૂળ સિદ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુદ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ખરાબ ભાવ છે, એ ઓછા થાયને ? દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું. સામાને માટે લેવાદેવા નથી. સામાને શુદ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુદ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ. પ્રશ્નકર્તા : તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય, એ ઓછો થાય ને ? દાદાશ્રી : ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય. શુદ્ધાત્મા જોવાથી ના થાય પણ પ્રતિક્રમણ કરો તો થાય. (પા.૩૬૮)પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં ? દાદાશ્રી : થાયને, અસર થાય. જોઈએ તોય ફાયદો થાય, પણ એકદમ ફાયદો ના થાય. પછી ધીમે ધીમે ધીમે થાય ! કારણ કે શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી. સારા માણસ ને ખોટા માણસ, એ રીતે જોયું છે. વાઘ પણ ભૂલે હિંસક ભાવપ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે ને કે ‘તમે જો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસક ભાવ ભૂલી જાય’, તો એ શું છે ? દાદાશ્રી : હા, વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય એટલે આપણો અહીં આગળ ભય છૂટી જાય. પ્રશ્નકર્તા : આપણો ભય છૂટી જાય એ બરોબર, પણ પેલા આત્માને કંઈ થાય કે નહીં ? દાદાશ્રી : કશું ના થાય. આપણો ભય છૂટે કે એ છૂટી ગયું. પ્રશ્નકર્તા : પણ એનો હિંસક ભાવ જાય છે એમ આપે કહ્યું ને ? દાદાશ્રી : એ હિંસક ભાવ જતો રહે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે જાય ? દાદાશ્રી : આપણો ભય છૂટી ગયો કે હિંસક ભાવ જતો રહે. પ્રશ્નકર્તા : તો એનો અર્થ એ થયો ને, કે એના આત્માને અસર થઈ ? દાદાશ્રી : આત્માને સીધી અસર તો હોય છે. આત્માને તો અસર હોય છે જ. અસર પહોંચે બધી. જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ તો વાઘેય આપણા કહ્યા પ્રમાણે (પા.૩૬૯)કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં કશો ફેર છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. ‘વાઘ હિંસક છે’ એવું તમારા મનમાં ધ્યાન હોય ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે અને ‘વાઘ શુદ્ધાત્મા છે’ એવું ધ્યાન રહે તો એ શુદ્ધાત્મા જ છે ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે. પહોંચે મૂળ શુદ્ધાત્માનેએક ફેર આંબા પર વાંદરો આવ્યો હોય ને કેરીઓ તોડી નાખે, તો પરિણામ ક્યાં સુધી બગડે ? કે આ આંબો કાપી નાખ્યો હોય તો સારું. આવું કરી નાખે. હવે ભગવાનની સાક્ષીએ વાણી નીકળેલી કંઈ નકામી જતી હશે ? આવું છે. પરિણામ ના બગડે તો કશુંય નથી. બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય. આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે. આપણે તો સામાના કયા આત્માની વાત કરીએ છીએ ? પ્રતિક્રમણ કરીએ છીએ, તે જાણો છો ? પ્રતિષ્ઠિતને નથી કરતા, આપણે એના મૂળ શુદ્ધાત્માને કરીએ છીએ. આ તો એ શુદ્ધાત્માની હાજરીમાં આ એની જોડે થયું તે બદલ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ શુદ્ધાત્માની પ્રતિ આપણે ક્ષમા માંગીએ છીએ. પછી એના પ્રતિષ્ઠિત આત્મા જોડે આપણે લેવાદેવા નથી. અશુદ્ધ પર્યાયોનું શુદ્ધિકરણઆ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થતા હોય, તેનું શુદ્ધિકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધિકરણ થાય અને સમતામાં રહેવાનું. (પા.૩૭૦)પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ? દાદાશ્રી : હજુ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાત્તાપ કરીને એને ધોઈ નાખવા પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલું થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય ! પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન મળ્યા પહેલાં નર્કના બંધ પડી ગયા હોય તો નર્કે જવું પડે ને ? દાદાશ્રી : એવું છે કે આ જ્ઞાન જ એવું છે કે પાપો બધાં ભસ્મીભૂત થઈ જાય છે, બંધ ઊડી જાય છે. નર્કે જનારા હોય પણ તે પ્રતિક્રમણ કરે, જીવતા હોય ત્યાં સુધીમાં તો તેનું ધોવાઈ જાય. પોસ્ટમાં કાગળ નાખ્યા પહેલાં તમે લખો કે ઉપરનું વાક્ય લખતાં મનનું ઠેકાણું ન હતું તો તે ઊડી જાય. પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ? દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડાગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય. પ્રશ્નકર્તા : જન્મથી મૃત્યુ સુધી મન-વચન-કાયા બધું નિર્જરા રૂપે છે પણ આ નિર્જરા થતી વખતે નવો ભાવ નાખ્યો તે અતિક્રમણ ? દાદાશ્રી : હા, એ ભાવનું શુદ્ધિકરણ કરો. આ ન્યાય એટલે જબરજસ્તકર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાંનો, કંઈક ચીકણો થઈ ગયેલો ને તે પૂરો થઈ જશે. એમાં છૂટકો જ નહીંને ? આ તો રઘા (પા.૩૭૧)સોનીનો કાંટો છે. ન્યાય, જબરજસ્ત ન્યાય ! ચોખ્ખો ન્યાય, પ્યૉર ન્યાય ! એમાં પોલંપોલ ચાલે નહીં. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ? દાદાશ્રી : ઓછા થાય ને ! જલદી નિવેડો આવી જાય. મૃતાત્માના પ્રતિક્રમણોપ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ? દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય તો કરાય. મોઢું સહેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથીય કરાય, તો એને પહોંચી જાય બધું. જે વ્યક્તિ જોડે આપણાથી ગૂંચો પડી ગઈ હોય ને તે મરી ગયા હોય તો, તેને યાદ કરીને ગૂંચો ધોઈ નાખવી. જેથી ચોખ્ખું થઈ નિકાલ થઈ જાય ને ગૂંચો ઉકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. કારણ કે સ્મૃતિ મરેલાનીય આવે ને જીવતાનીય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર ‘એ’ જીવતો જ છે, મરતો નથી. આનાથી તેના આત્માનેય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો એની ગૂંચમાંથી છૂટી શકીએ. એવું છેને, આ સો રૂપિયાનાં કપ-રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થયા પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસોય પ્યાલા-રકાબી જ છેને ? આ તો દેખાય છે કે મરી ગયા પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જ્યાં હોય ત્યાં એને પહોંચે. (પા.૩૭૨)પ્રશ્નકર્તા : એ કેવી રીતે કરવાનું ? દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મૃત્યુ પામેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી ‘આવી ભૂલો કરેલી’ તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાત્તાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). ‘આપણે પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર કર્યાં અને કેટલીવાર કર્યાં. મહાત્માને એ બધાં નિકાલી કર્મપ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન મળ્યા પછી પણ કોઈકવાર ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો શું ? શાથી એવું થાય, દાદા ? દાદાશ્રી : એય કર્મ કરે છે. એમાં તમે કર્તા છો નહીં. અમથા તમે કર્તા કહીને મહીં મૂંઝાયા કરો છો. પ્રશ્નકર્તા : તો એવો ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો માત્ર જોયા જ કરવાનું ? દાદાશ્રી : ખરાબ કહો છો, તે જ જોખમ છે. ખરાબ હોતું જ નથી કશું. સામાને દુઃખ થાય તો કહેવું કે ‘ભઈ, કેમ ચંદુભાઈ, તમે દુઃખ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.’ ભગવાનને ત્યાં ખરાબ-સારું છે નહીં. એ બધું સમાજને છે. મહાત્માઓને ભાવ-અભાવ હોય છે પણ એ નિકાલીકર્મ છે, ભાવકર્મ નથી. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ ને ભાવાભાવ એ બધાં નિકાલીકર્મ છે. તેનો સમભાવે નિકાલ કરવાનો છે. આ કર્મો પ્રતિક્રમણ સહિત નિકાલ થાય. એમને એમ ના નિકાલ થાય. (પા.૩૭૩)[23] મન માંડે મોંકાણ ત્યારેમાનસિક પ્રતિકારનું શું ?પ્રશ્નકર્તા : કો’ક વખત આવું અપમાન કરી નાખે તો ત્યાં મનના પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય. દાદાશ્રી : આપણે તો એ વખતે શું બન્યું એનો વાંધો નહીં. અરે, દેહનોય પ્રતિકાર થઈ ગયો, તોય એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને મનનો પ્રતિકારેય બંધ થઈ જાય, છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે, દેહનોય પ્રતિકાર થઈ જાય. તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : વિચારનાં પ્રતિક્રમણ કરવાં પડે ? દાદાશ્રી : વિચાર જોવાના. એનાં પ્રતિક્રમણ નહીં. બહુ ખરાબ વિચાર હોય કો’કના માટે, તો એના માટે પ્રતિક્રમણ કરવાં પડે. પણ કોઈને નુકસાન કરનારી ચીજ હોય ત્યારે જ. એમને એમ આવે, બધું ગમે તેવું આવે. ગાયના, ભેંસના, બધી જાતના વિચાર આવે, એ તો આપણા જ્ઞાનથી ઊડી જાય. જ્ઞાને કરીને જોઈએ તો ઊડી જાય. એને જોવાના ખાલી, એનાં પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ તો આપણું કોઈને તીર વાગ્યું હોય તો જ હોય. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય (પા.૩૭૪)તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : એવો ભાવ બગડ્યો હોય તો પણ કરવાનું ? દાદાશ્રી : હા. અભાવ થયો હોય, એવું તેવું થયું હોય, મનમાં સહેજ તિરસ્કાર થયો હોય તોય પણ પ્રતિક્રમણ કરવાનું. મન બગડવું કોને કહેવાય ? મન એકલું બગડતું નથી, આખું અંતઃકરણ બગડે છે. આખી પાર્લામેન્ટનો ઠરાવ થાય ત્યારે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. ‘સામાને આમ કરી નાખું, તેમ કરી નાખું’ તેમ થાય. આ એકલા મનનું કારણ નથી. મન તો જ્ઞેય છે, વીતરાગી સ્વભાવનું છે. મન બગડી જાય તો પ્રતિક્રમણ કરી નાખવું. અંતઃકરણની પાર્લામેન્ટનો ઠરાવ થઈ જવો અને મન બગડવું એ બે જુદી વસ્તુ છે. જો પ્રતિક્રમણ કરીએને એટલે મન ટાઢું પડી જાય. તે હવે પ્રતિક્રમણ કરે એટલે મન હઉ ટાઢું પડી જાય. પ્રતિક્રમણ કરાય કરાય કરવાં બધાંનાં ! પ્રશ્નકર્તા : બપોરે પ્રતિક્રમણ કરાવ્યા’તાં. દાદાશ્રી : તોય ફરી કરાય કરાય કરવાં. જેટલાં પ્રતિક્રમણ કરીશ એટલું મહીં મજબૂત થશે આ. જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો. એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે હું પડી જઈશ એટલે પડ્યો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્મસ્વરૂપ થઈ જાવ. જો તમને મનને ખૂંચે એવું હોય તો તેનું પ્રતિક્રમણ હોય. આ મને હાર ચઢાવ્યો, તેનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આય ‘ક્રેડિટ’ છે, બહુ મોટી ‘ક્રેડિટ’ છે. ભાવ બગડે ત્યારેતમે અત્યારે અહીં આવ્યા ને અહીં આગળ બહુ ભીડ હોય તો કો’કને એમ વિચાર આવે કે આ અત્યારે પાછો ક્યાંથી આવ્યો ? એવા મહીં વિચાર આવી જાય અને પાછી વાણી કેવી નીકળે ? આવો, (પા.૩૭૫)આવો, પધારો. વિચાર આવ્યો તે અતિક્રમણ કહેવાય. એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અંદરના ભાવ ના બગાડવા, બહારના ગમે તેવા હોય. પ્રશ્નકર્તા : અંદર ને બહાર બન્ને ઉત્તમ હોય તો ? દાદાશ્રી : તેના જેવું તો એકુય નહીંને ! વખતે મહીં બગડ્યું હોય તો પ્રતિક્રમણ કરી નાખવું. સામટું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય. પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ? દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે ‘વિચાર સારો હોવો જોઈએ’ એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી-નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધેભારે બોલવું હોય તો બોલવું કે, ‘બધા સારા છે.’ ‘સારા છે’ કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે. એટલે ફરી આવો પાછો વિચાર આવે તો તે ભરેલો માલ છે, તેના વિચાર આવવાના. સ્ટોક તો જેવો હોય તેવો નીકળ્યા કરશે. અને એક માણસમાં કશી સમજણ નથી છતાં પણ મનમાં એમ લાગે કે હું બહુ ડાહ્યો છું. એ સ્ટોક થયેલું. એ કંઈ એને નુકસાન કરતો નથી. એટલે એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. (પા.૩૭૬)વિચાર આવે તો ખરા પણ તેને નિર્માલ્ય કરી નાખવા. પ્રતિક્રમણ કરી નાખવું. વિચાર નિર્જીવ છે. એના શુદ્ધાત્માને કેવી રીતે પહોંચે ? ‘દેહધારી નગીનભાઈ, નગીનભાઈની માયા, નગીનભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ! આ તાર તમને પહોંચે. તમારા પ્રત્યે મારામાં આ વિચાર આવ્યો તે બદલ હું એની ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરું છું. હવે ફરી નહીં કરું.’ આંટી પડ્યા વગર વિચાર જ ના આવે. જેવો વિચાર આવે તેનું અવશ્ય પ્રતિક્રમણ કરવું. એટલે સામટાં પ્રતિક્રમણ કરવાં. આ દસ મિનિટમાં જે જે વિચાર આવ્યા હતા, એ બધાનું સામટું પ્રતિક્રમણ હું કરું છું. એનું નામ સમભાવે નિકાલપ્રશ્નકર્તા : ઘણા દોષો એવા થતા હોય છે જેમ કે કોઈ વ્યક્તિ આપણી સામે આવીને ઊભી રહે. તેને જોતાંની સાથે જ આપણને મનમાં એવો ભાવ થયો કે આ માણસ નકામો છે. તો પ્રતિક્રમણ ત્યાં જ કરવું જોઈએ ? પ્રતિક્રમણ કરવાનું કદાચ રહી જાય તો ? દાદાશ્રી : રહી જાય તો વાંધો નહીં. રહી જાય તેનું બાર મહિને ભેગું કરીએ તોય ચાલે. ત્રણ મહિને, છ મહિને કરી નાખવું તોય ચાલે પણ એનો દુરુપયોગ ના કરશો, કે બાર મહિને થયા છે, તે ભેગા જ પછીથી કરીશું. પ્રતિક્રમણ કરવાનું ભૂલી ગયા હો તો પછીથી ભેગા કરીને થાય. કોઈ એવો ડફોળ માણસ સામો મળ્યો હોય, તો છેટેથી દેખતાંની સાથે એમ લાગેને, કે આ ફાઈલ આવી છે, તે સમભાવે નિકાલ કરવા જેવું છે. મહીં ચેતવે કે ભૂલી જાય ? પહેલેથી ચેતવે ? તને હઉ ચેતવે ? એટલે મોટામાં મોટો ધર્મ સમભાવે નિકાલ કરવો. અને આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. અને છતાંય મહીંથી કોઈને માટે ખરાબ પૌદ્ગલિક (પા.૩૭૭)ભાવ નીકળે તો ‘એને’ પ્રતિક્રમણ કરવાનું કહેવું. જ્યાં આગળ ડાઘ પડ્યા હોય તે ધોઈ નાખવાના, સાફ કરી નાખવાના. નવા ડાઘ નહીં પાડવાના, એનું નામ ‘સમભાવે નિકાલ’. સામાના ભાવ બગડે ત્યાંપ્રશ્નકર્તા : ધારો કે આપણો કંઈ ભાવ ના બગડ્યો હોય, પણ સામાને વાતચીત કરતાં મોઢા પરથી રેખાઓ બદલાઈ ગઈ, આપણા માટે સામાનો ભાવ બગડ્યો, તો તેના માટે આપણે કયા પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવાનું. કારણ કે મારામાં શું દોષ રહ્યા છે કે આનો ભાવ બગડી જાય છે. ભાવ બગડી ના જવો જોઈએ. ભાવશુદ્ધિ જ રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : આપણે બે જણા વાત કરતા હોઈએ ને એમાં ત્રીજી કોઈ વ્યક્તિ એકદમ આવી પડે, હવે એ તો કશું બોલી-ચાલી નથી, એમને એમ ઊભી છે, પણ એમાં તમારા ભાવ બગડ્યા, મોઢા પરની રેખાઓ બદલાઈ, તે જોઈ મને એમ થાય કે આ આમ કેમ ભાવ બગાડે છે ? તો તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? દાદાશ્રી : આપણે સામાના ભાવ કેમ બગડ્યા, એમ તપાસ કરીએ છીએને એ ગુનો છે. એ ગુના બદલ આપણે પ્રતિક્રમણ કરવાનું. સામાનું જો મોઢું ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ. ત્યારે તેના ‘શુદ્ધાત્મા’ને સંભારીને એના નામની માફી માંગ માંગ કરી હોય તો ઋણાનુબંધમાંથી છૂટાય. ત્યારે થવાય વીતરાગના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે. પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ? દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામાને માટે ખરાબ વિચાર ના (પા.૩૭૮)આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકાં ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે. પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું, ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ? દાદાશ્રી : હા. એ ખરું, પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. બહારના સંજોગ હોય તો જ ફૂટેવિચારો મહીં પડેલી ગાંઠોમાંથી ફૂટે છે. ‘એવિડન્સ’ (પુરાવો) ભેગો થાય કે વિચાર ફૂટે. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય પણ રસ્તામાં સંયોગ ભેગો થયો કે વિષયના વિચાર આવે ! પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે તે વાતાવરણમાંથીને ? સાંયોગિક પુરાવાના આધારે જ એના સંસ્કાર, એની સાથેના ભાઈબંધ, એ બધું જ સાથે મળે છેને ? દાદાશ્રી : હા, ‘એવિડન્સ’ બહારનો મળવો જોઈએ. એના આધારે જ મનની ગાંઠો ફૂટે, નહીં તો ફૂટે નહીં. પ્રશ્નકર્તા : એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ ? દાદાશ્રી : એ બધું કુદરતી જ છે. પણ તમારે જોડે જોડે સમજવું જોઈએ કે આ બુદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. આ મારું અહિતકારી છે, એવું મને સમજાય, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય, તો એ ગાંઠો છેદી નાખે. આપણે શુદ્ધાત્માનો ચોપડો ચોખ્ખો રાખવો. તે રાત્રે ચંદુભાઈને કહેવું કે જેનો જેનો દોષ દેખાયો હોય તેની જોડે ચોપડો ચોખ્ખો કરી નાખવો. મનના ભાવો બગડી જાય તો પ્રતિક્રમણથી બધું શુદ્ધિકરણ કરી (પા.૩૭૯)આપે. બીજો કોઈ ઉપાય નથી. ઇન્કમટેક્ષવાળોય દોષિત ના દેખાય એવું રાત્રે કરીને સૂઈ જવાનું. આખું જગત નિર્દોષ જોઈને પછી ચંદુભાઈને સૂઈ જવા કહેવું. પહોંચે, મનથી કરો તોયતમે કોઈની જોડે ઝઘડો કર્યો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ કરો. એટલે એનો પશ્ચાત્તાપ થઈ નિકાલ થઈ જાય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ પ્રત્યક્ષમાં થવું જોઈએ ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ પાછળથી થાય તોય વાંધો નથી. પ્રશ્નકર્તા : મેં તમારી અવહેલના કરી હોય, અશાતના કરી હોય તો મારે તમારા પ્રત્યક્ષમાં આવીને પ્રતિક્રમણ કરવું જોઈએને ? દાદાશ્રી : જો પ્રત્યક્ષ થાય તો સારી વાત છે. ન થાય તો પાછળ કરે તોય સરખું જ ફળ મળે. પ્રશ્નકર્તા : પણ પેલાને પહોંચે કેવી રીતે ? દાદાશ્રી : એ બધું અમે જાણીએ, કેવી રીતે પહોંચે તે ! એ બુદ્ધિથી તમારે સમજાય એવું નથી. એ અમે ‘જ્ઞાનીપુરુષ’ જાણીએ. તે અમે તમને કહીએ એટલું તમારે કરવાનું. બીજી ભાંજગડમાં, બુદ્ધિમાં તમે પડશો નહીં. વખતે એ ભેગા ના થાય તો આપણે શું કરવું ? એમને એમ બેસી રહેવું ? ભેગા ના થયા તો શું કરવું ? આ અમે કહીએ છીએ એ પ્રોસેસ (પ્રક્રિયા) છે. આ કાળમાં વિરાધકો વધારેઅમે શું કહ્યું, ‘તમને દાદા માટે એવા ઊંધા વિચાર આવે છે, માટે તમે એનું પ્રતિક્રમણ કર્યા કરો.’ કારણ કે એનો શો દોષ બિચારાનો ? વિરાધક સ્વભાવ છે. આજનાં બધાં મનુષ્યોનો સ્વભાવ જ (પા.૩૮૦)વિરાધક છે. દુષમકાળમાં વિરાધક જીવો જ હોય. આરાધક જીવો ચાલ્યા ગયા બધા. તે આ જે રહ્યા છે, એમાંથી સુધારો થાય એવા જીવો ઘણા છે, બહુ ઊંચા આત્માઓ છે હજુ આમાં ! તીર્થંકરો ને જ્ઞાનીઓ પ્રત્યેઅમારા વિશે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખવું. મન તો ‘જ્ઞાનીપુરુષ’નુંય મૂળિયું ખોદી નાખે. મન શું ના કરે ? દઝાયેલું મન સામાને દઝાડે. દઝાયેલું મન તો મહાવીરનેય દઝાડે. પ્રશ્નકર્તા : ‘જે ગયા તે કોઈનું કશું ધોળે નહીં.’ તો મહાવીરનો અવર્ણવાદ તેમને પહોંચે ? દાદાશ્રી : ના, એ સ્વીકારે નહીં. એટલે રીટર્ન વીથ થેંક્સ (આભાર સાથે પરત) ડબલ થઈને આવે. એટલે પોતે પોતાના માટે માફી માગ માગ કરવાની. આપણને એ શબ્દ જ્યાં સુધી યાદ ના આવે ત્યાં સુધી માફી માગ માગ કરવી. મહાવીરનો અવર્ણવાદ બોલ્યા હોય તો માફી માગ માગ કરવાની. તે તરત ભૂંસાઈ જાય બસ. તીર મારેલું એમને પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે. એ છે પરિણામ, અશાતનાઓનુંપ્રશ્નકર્તા : અમારા ગામમાં ચાલીસ દેરાસરો છે છતાંય પણ એવી કઈ અશાતના થઈ છે, કે એવા કયા કારણો છે કે જેથી કરીને આ ગામનો અભ્યુદય થતો નથી ? દાદાશ્રી : થશે, અભ્યુદય થશે. અને હવે અભ્યુદય થવાની તૈયારીમાં જ છે. પ્રશ્નકર્તા : કોઈ અશાતના થઈ છે ? દાદાશ્રી : અશાતના વગર તો બધું થાય નહીં ને આવું. અશાતનાઓ જ થઈ છે ને, બીજું શું છે ? પ્રશ્નકર્તા : એના નિવારણ માટે કોઈ રસ્તો ? (પા.૩૮૧)દાદાશ્રી : નિવારણ તો, આપણે પશ્ચાત્તાપ, પ્રતિક્રમણ કરીએ તે, સાચું પ્રતિક્રમણ હંઅ, તો એ નિવારણ થાય. નહીં તો નિવારણ કોઈ રસ્તે થાય નહીં. આ તો પસ્તાવો કરીએ, કે અશાતના થઈ છે. એવું પશ્ચાત્તાપ કરીએ તો કંઈ ફેરફાર થઈ જાય. પણ બધા કરીએ ત્યારે ફેરફાર થાય. એકલા કરો તો કેટલુંક વળે ? (પા.૩૮૨)[24] જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાનયાદ આવે તે ચોખ્ખું થવાપ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ? દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથુ ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો મેમરી (સ્મૃતિ)ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા. આ સ્મૃતિ ઇટસેલ્ફ બોલે છે કે ‘અમને કાઢ, ધોઈ નાખ.’ જો સ્મૃતિ ના આવતી હોત તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગ-દ્વેષ છે ? સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે, ચોંટને ધોઈ નખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો, તો એ ધોવાઈને વિસ્મૃત થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે તે ભૂંસો, તેનો પશ્ચાત્તાપ કરો અને ફરી એવું ના થાય એવો દ્રઢ નિશ્ચય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે. (પા.૩૮૩)‘આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે, માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું. પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું. દાદાશ્રી : હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે. પ્રત્યાખ્યાન રહી ગયાં એની ઈચ્છાયાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોય તો ગૂંચ પડેલી ભૂલી જવાત. તમને કેમ કોઈ ફોરેનર્સ (વિદેશીઓ) યાદ નથી આવતા ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગ-દ્વેષના કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઈ જાય. ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયાં તેથી. સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યાં તેથી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ માલિકીભાવનું હોય ને ? દાદાશ્રી : માલિકીભાવનું પ્રત્યાખ્યાન હોય ને દોષોનું પ્રતિક્રમણ હોય. છતાંય અતિક્રમણો ચાલુ જપ્રશ્નકર્તા : પહેલાં જે દોષો કરેલા તેની અત્યારે તીવ્રતા ઓછી થયેલી હોય, ઘણી વસ્તુઓ યાદ પણ ઓછી રહે. તો પ્રતિક્રમણ કરતી વખતે એ બધું ભુલાઈ ગયેલું હોય તો એ કેટલી યાદ આવે ? એક વાર કહેલું કે રોજના સો-સો પ્રતિક્રમણો ને એથી પણ વધારે પણ કરવાં પડે. હવે એ બધું ભુલાઈ ગયેલું છે ને એ દોષો તો બાંધી દીધેલા છે, એ કઈ રીતે યાદ આવે ? (પા.૩૮૪)દાદાશ્રી : એવું બધું કરવાની જરૂર નથી. એ ઘણાખરા આપણે આ જ્ઞાન આપીએ ને ત્યારે તરત બળી જાય. ત્યારે તમને આ જ્ઞાન હાજર થાય. એટલે ઘણુંખરું બળી ગયેલું હોય. કોઈ મોટો ગુનો થયેલો હોય અને યાદ આવે તો એનું પ્રતિક્રમણ કરવું. બાકી કશું કરવાનું નહીં. યાદ ના આવે તેને કશું કરવાનું ન હોય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર એ ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે, એમાંથી હજી મુક્ત નથી થયા ? દાદાશ્રી : આ ડુંગળીનું એક પડ નીકળી જાય તો બીજું પડ પાછું આવીને ઊભું રહે, એવા બહુ, બહુ પડવાળા છે આ ગુના. એટલે એક પ્રતિક્રમણ કરીએ તો એક પડ જાય એમ કરતાં કરતાં, સો પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય. કેટલાકનાં પાંચ પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય, કેટલાંકના દસ ને કેટલાંકના સો થાય. એના પડ હોય એટલા પ્રતિક્રમણ થાય. લાંબું ચાલ્યું એટલે લાંબો ગુનો હોય. પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને કે ભૂલ થઈ તે ખબર પડે. તેનું પ્રતિક્રમણેય થાય, કરતાં જાય છતાં પાછા ફરી ફરીને એની એ ભૂલો ચાલુ જ હોય. દાદાશ્રી : જે થાય તે, ફરી ફરીને પણ પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં. કારણ કે એ પડ છે ને એ પડ ગયું, બીજું પડ ગયું, એટલે એ ભૂલનો દોષ નથી, કરનારનો દોષ નથી. એ પડ વધારે છે તેથી. પ્રશ્નકર્તા : એ સ્વભાવને લીધે છે કે એટલી જાગૃતિ ઓછી છે માટે ? દાદાશ્રી : ના, ના, ના. હજાર જન્મ સુધી આનું આ કર્યું હોય તો એટલાં પડ વધારે હોય. પાંચ જ જન્મ કર્યું હોય તો એટલાં. અને તોય થશે ફરી. કારણ કે ડુંગળી હોય એનું એક પડ જાય તો તે ડુંગળી મટી જાય ? એ પાછું બીજું પડ આવે, ત્રીજું આવે, એમ કરતાં કરતાં કેટલાય પડવાળા દોષો છે. તે દસ પડવાળા દોષોનો દસ પ્રતિક્રમણમાં (પા.૩૮૫)નિકાલ થઈ જશે. પચાસ પડવાળા દોષોનો પચાસ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે. પ્રતિક્રમણ કર્યું એટલે એનું ફળ તો અવશ્ય મળે જ. અવશ્ય ચોખ્ખું થાય છે. અતિક્રમણનું પ્રતિક્રમણ હોવું જોઈએ. અહીંયાં આવીને કશું અતિક્રમણ કર્યું નથી. એટલે તમારે એનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. અતિક્રમણ કરો તો જ પ્રતિક્રમણ કરવાનું છે. યાદનું પ્રતિક્રમણ : ઈચ્છાનું પ્રત્યાખ્યાનપ્રશ્નકર્તા : યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું એ સમજાવો. દાદાશ્રી : યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય. પ્રશ્નકર્તા : તે જેટલી વાર યાદ આવે એટલી વાર કરવું ? દાદાશ્રી : હા, એટલી વખત કરવું. આપણે કરવાનો ભાવ રાખવો. એવું છેને, યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએને, તો આનો ટાઈમ મળે. રાતે કંઈ યાદ આવતા નહીં હોય ? પ્રશ્નકર્તા : એ તો કંઈ સંજોગ હોય તો. દાદાશ્રી : હા, સંજોગોને લઈને. પ્રશ્નકર્તા : અને ઇચ્છાઓ આવે તો ? દાદાશ્રી : ઈચ્છા થવી એટલે સ્થૂળવૃત્તિઓ થવી. પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું. પ્રશ્નકર્તા : તે વખતે ‘દાદા’એ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે. દરેક વખતે એવું કહેવાનું. દાદાશ્રી : આ વસ્તુ મારી ન હોય, વોસરાવી દઉ છું. અજ્ઞાનતામાં (પા.૩૮૬)મેં આ બધી બોલાવી હતી પણ આજે મારી ન હોય આ. એટલે મન-વચન-કાયાથી વોસરાવી દઉ છું. હવે મારે કંઈ જોઈતું નથી. આ સુખ મેં અજ્ઞાનદશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ન હોય. એટલે મન-વચન-કાયાથી વોસરાવી દઉ છું. હવે મારે કંઈ જોઈતું નથી. જેમાં સુખ માન્યું હતું તેને આપણે બોલાવ્યા, પણ અત્યારે તો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે આપણને એ સુખ મિથ્યાભાસ લાગવા માંડ્યા. સાચું સુખ તો નહીં પણ મિથ્યા સુખેય નહીં, પણ મિથ્યાનોય ભાસ લાગ્યો ! શોર્ટ પ્રતિક્રમણઆ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઑન સાઈટ (દેખો ત્યાંથી ઠાર) પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ (પાયા) ઉપર ઊભું રહ્યું છે. ભૂલ કોઈની થતી જ નથી. સામાને આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય તો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી મુક્ત એવાં તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : પણ દર વખતે આખું લાંબું બોલવું ? દાદાશ્રી : ના, એવું કશું નહીં. શોર્ટમાં પતાવી દેવાનું. સામાના શુદ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે ‘આ ભૂલ થઈ, માફ કરો’. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં પણ ગમે ત્યારે શૂટ ઑન સાઈટ કરીએ એટલે સ્થિરતાથી બેસવાની જરૂર નહીં ? દાદાશ્રી : સ્થિરતાથી બેઠા ના હોય પણ પ્રતિક્રમણ કરે તો ચાલે પણ શૂટ ઑન સાઈટ. દોષ થઈ ગયો કે તરત. પછી તો વખતે રહીએ જાય, ભૂલી જઈએ ત્યારે ? (માટે શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કરવું.) પછી ના ચીટકે પરભવેપ્રશ્નકર્તા : દિવસમાં કેટલાં પ્રતિક્રમણ કરવાનાં ? દાદાશ્રી : જેટલા દોષ કરો એટલાં જ પ્રતિક્રમણ, વધારે નહીં. (પા.૩૮૭)શૂટ ઑન સાઈટ. જે દોષ થયો કે તરત શૂટ કરી દો. દાદા ભગવાનનું નામ લઈને તરત જ શૂટ કરી દો. શૂટ થઈ જશે. પ્રતિક્રમણ તો ચા પીતાંય કરાય, નહાતાં નહાતાંય કરાય. જ્યાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે, ત્યાં સ્થાનને જોવું પડે. પણ આપણને આત્મધર્મ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં આપણે પ્રતિક્રમણ કરાય. પ્રતિક્રમણ કરી કરીને જેટલી ભૂલ ભાંગી તેટલો મોક્ષ પાસે આવ્યો. પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને, બીજા જન્મમાં ? દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં. એટલે પ્રતિક્રમણ કરાય કરાય કરવાં પડે. ચાલો. પ્રતિક્રમણ કરો આનાં, કહીએ. વ્યવહારમાં આપણાથી થાય એવું હોય ત્યારે ‘પ્રતિક્રમણ કરો’ કહીએ. ઘરનાં, કુટુંબીજનોનાં પ્રતિક્રમણોઅને બીજું ઘરના માણસોનાંય રોજ પ્રતિક્રમણ કરવાં જોઈએ. તારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો, કુટુંબીઓ, બધાનું રોજેય પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય. એટલે જો કુટુંબીઓ માટે એક કલાક પ્રતિક્રમણ કરોને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ ને એ બધાં, એક ફેમીલી (કુટુંબ) હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય, આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી (પા.૩૮૮)ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો તે બહુ આનંદ તે ઘડીએ તો આવે. એ આનંદ માશે નહીં ! પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે. દાદાશ્રી : કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી. પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો. એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે. આજે રાતે પ્રતિક્રમણ કરજો ને તમારા બધા કુટુંબીઓના, ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે કરજો. પછી ખૂટી પડે તો પરમ દહાડે રાતે, અને તે એટલે સુધી નહીં, આપણે ગામમાં ઓળખતા હોય એ બધાને સંભારીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર મારાથી રીસ ચઢી હોય, એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને ? બધાં કાગળિયાં ચોખ્ખાં કરવાં પડશે. પ્રશ્નકર્તા : ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હોયને, તે આપણને યાદ પણ ના આવતું હોય તો ? દાદાશ્રી : યાદ ના આવે તેને ? તે તો રહી ગયું એમને એમ જ ! એ પછી સામાયિક કરવાનું, એમાં યાદ આવશે. પ્રશ્નકર્તા : સામાયિકમાં યાદ આવે ? દાદાશ્રી : હા, કેટલાકને તો પાંચ વર્ષ સુધીનું બધું યાદ આવે. નિર્ગ્રંથ દશા, ગ્રંથિઓ છેદીનેપ્રશ્નકર્તા : આપણે બચપણમાં ભૂલ કરી છે, જુવાનીમાં ભૂલ કરી છે કે પછી ભૂલ કરી છે, એ બધું એક પછી એક દેખાય. દાદાશ્રી : હવે તે રોજ એક કલાક ટાઈમ મળે ત્યારે કરવું. રોજ (પા.૩૮૯)ટાઈમ મળે નહીં એટલે બે દહાડામાં પણ એક સામાયિક કરવું. એમાં વિષયોના દોષ જોવાના. એક દહાડો સામાયિકમાં હિંસાના દોષ જોવાના. એ બધા દોષો જોવાનું સામાયિક આપણે ગોઠવવું. અને તે આ ‘દાદાની’ કૃપા છે કે સામાયિકમાં બધા જ દોષ દેખાય. નાની ઉંમર સુધીનું બધું તમને દેખાશે અને દોષ દેખાયા એટલે ધોવાઈ જશે અને ધોવાઈ જાય છતાંય, પાછી મોટામાં મોટી ગાંઠ પકડી રાખવી. તેને તો રોજ સામાયિકમાં પોતે લાવવી. એટલે આમ કરતાં કરતાં સામાયિક કરતા જાવ. પ્રશ્નકર્તા : એ મોટી ગાંઠ છે એમ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : મોટી ગાંઠ તો, વારે ઘડીએ એના વિચાર આવે એ મોટી ગાંઠ. આ બાજુ લીંબું મૂક્યાં હોય ને આ બાજુ સંતરાં મૂક્યાં હોય, ને આ બાજુ ડુંગળી મૂકી હોય, એ બધાંની ગંધ આવે. પણ જેની વધારે ગંધ આવે તે જાણવું કે આ માલ અહીં વધારે છે. એટલે મહીં આપણને ખબર પડે. બહુ વિચાર આવે, વિચાર પર વિચાર, વિચાર ઉપર વિચાર આવે એટલે આપણે જાણીએ કે ઓહો, આ માલ વધારે છે. એટલે એની પછી નોંધ કરવી કે આ ફર્સ્ટ, આ સેકન્ડ, એવી કેટલી ગાંઠો છે એ જોઈ લેવી. પછી રોજના ઉપયોગમાં લેવું એને. એક ફેરો જુએ-જાણે અને પ્રતિક્રમણ કરે, એટલે એક પડ જાય. એવાં કોઈને પાંચસો-પાંચસો પડ હોય, કોઈને સો પડ હોય, કોઈને બસો પડ હોય પણ બધું ખલાસ થઈ જાય. હવે તો મોક્ષે જવાનું તે નિર્ગ્રંથ થઈને જવું પડે. નિર્ગ્રંથ એટલે અંદરની ગ્રંથિ બધી ગઈ. હવે બહારની ગ્રંથિઓ રહી, બાહ્ય ગ્રંથિઓ અને એય પાછું આ ‘ચંદુભાઈ’ને રહી. પ્રશ્નકર્તા : દાદા, આપના અમેરિકા જતાં પહેલાં આપની હાજરીમાં એક વખત પ્રતિક્રમણ કરવાનું રાખીશું બધા ? દાદાશ્રી : હા, આજે સાંજે જ કરાવડાવીએ. મારી હાજરીમાં જ કરીએ. હું ત્યાં બેસીશ ને ! મારી હાજરીમાં બધાએ કરવાનું. આ (પા.૩૯૦)પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું, બહુ વર્ષો પહેલાંની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું. તે એ કરતાં કરતાં બધા ઊંડા ઊતર્યા ઊતર્યા, તે હવે ઘેર જાય તોય બંધ ના થાય. સૂતી વખતેય બંધ ના થાય, ખાતી વખતેય બંધ ના થાય, પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું !!! એ બધાને તો ખાતી વખતેય બંધ ના થાય અને સૂતી વખતે બંધ ના થાય. ફસાયા હતા બધા, નહીં ? એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત-દહાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિક્રમણ કર્યા પછી ‘બંધ કરો, હવે બે કલાક થઈ ગયા’ એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ના થાય. મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે. મહીં ચાલુ રહ્યા કરે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં ‘દાદા’ એવું કહે છે ને કે પાછલા દોષો એ બધા જે ઊભરો આવે, તે ગમે તેટલું કરે તોય સમાય નહીં એવું બધા ઊભરાયા જ કરે. દાદાશ્રી : હા, એ બધું ઊભરાયા કરે. પૂર્વભવના દોષોનું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ વિધિમાં પૂર્વભવના દોષોની આલોચના કેવી રીતે કરી શકાય ? દાદાશ્રી : પ્રતિક્રમણ વિધિ એટલે પૂર્વભવના જે દોષ છેને, તે જ આ ભવમાં પ્રગટ થાય, ત્યારે આલોચના કરવાની હોય છે. આ ભવમાં જે પ્રગટ થાય છે, એ પૂર્વભવના દોષો છે. દોષો પૂર્વભવમાં થાય છે, તે આયોજન રૂપે થાય છે અને ત્યાર પછી પ્રગટ થાય છે, ત્યારે આપણને દેખાય કે પૂર્વભવમાં આ દોષ કરેલો હતો. તેવું અહીં આપણને દેખાય, અનુભવમાં આવે. પ્રશ્નકર્તા : અમુક દોષો એવા ના હોય કે જે આ ભવને ‘બાય પાસ’ કરીને આગલા ભવમાં જતા રહે કે વહેલા આવી જાય ? (પા.૩૯૧)દાદાશ્રી : ના, ના એ એવા ના હોય. કોઈ આંબો એવો હોય કે જે મોર આવ્યા સિવાય, શાખ પડેલી કેરીઓ તરત આપે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તેવી રીતે પહેલાં આનો મોર આવે. આ બધુ વિધિપૂર્વક છે, અવિધિપૂર્વક નથી, ગપ્પું નથી આ. એટલે ગયા અવતારમાં મોર આવે અને આ અવતારમાં હાફૂસ કેરી તૈયાર થાય. ત્યાર પછી કડવું-મીઠું ફળ આપે. પ્રશ્નકર્તા : ફળ એક ભવ પછી, મોડું ના આવે ? દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા : આ જ ભવમાં ફળ આવે બધાં ? દાદાશ્રી : આ ભવમાં આવી જવું પડે. કારણ કે બીજા ભવનો શો વિશ્વાસ ? બીજા ભવમાં તો ગધેડામાં ગયો હોય અને મનુષ્યનાં કર્મો હોય ! એટલે મનુષ્યમાં જ ફળ આવી જાય બધાં. કાઢો દરરોજ એક કલાકદાદાશ્રી : તમે તમારા મોટાભાઈનું પ્રતિક્રમણ કરેલું ? પ્રશ્નકર્તા : એવું કંઈ પ્રતિક્રમણ નથી કર્યું. દાદાશ્રી : એ બધાં પ્રતિક્રમણ કરવાં પડે. ત્યારે ભેગા થયેલા હોય તો છૂટે. આ પ્રતિક્રમણ કરતી વખતે જે આનંદ થાય તે ખરેખરો થાય. પહેલું તમારા ઘરનાં માણસો જોડે, પછી કુટુંબીઓ જોડે, પછી આપ બેઉની સરખામણી કરતા જાવ રોજ. બપોરે જે આરામ કરોને, તે વખતે કરતાં જાવ. એક એક માણસને. પેલા ઘરનાં છોકરાં-બોકરાં બધુંય. છોકરાં, છોકરાંની વહુ, પછી જુઓ આનંદ ! ઘરમાં આવી રીતે પ્રતિક્રમણ કરો. એક કલાકનો પ્રયોગ રાખવો. તે ઘડીએ આનંદ તો જો, જો, સંભારી સંભારીને ! નાનું છોકરું હઉ દેખાય ! (પા.૩૯૨)આપણું આ જ્ઞાન તો જુઓ, આપણું જ્ઞાન કેટલું બધું ક્રિયાકારી છે ?! આમ યાદ ના આવે, પણ આમ પ્રતિક્રમણ કરવા બેઠા તો ઘરનાં છોકરાં-બોકરાં બધું ય દેખાય. પ્રશ્નકર્તા : દાદા, જો આપે ટકોર કરી હોય કોઈ બાબતમાં કે પ્રતિક્રમણ રોજ કરવાં. પછી એક દિવસ ના થાય, ઓછાં થાય એટલે જે આપણે ટાઈમ કાઢતા હોઈએ, એની પાછળ એ ઓછાં થાય તો હવે ખૂંચે છે. પહેલાં તો એમ કે કર્યા હવે પ્રતિક્રમણ, એવું થતું હતું. દાદાશ્રી : ખૂંચે એટલે જાણવું કે આપણે આ બાજુ ગયા. હવે આ બાજુ આપણું વોટીંગ કર્યું. પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણનું બહુ સારું થઈ ગયું, દાદા. દાદાશ્રી : પ્રતિક્રમણ તો કામ કાઢી નાખે. આજે રાત્રે પહેલાં નજીકનાં જે બધાં હોય ને, ફાધર-મધરથી માંડીને શરૂઆત કરવાની. તે ભાઈ, બહેન, કાકા, કાકી, મામા, મામી, બધાં લઈને ઠેઠ નાનામાં નાના છોકરા સુધી બધાંનું પ્રતિક્રમણ તું કરી લેજે. ઘરનાં છે એટલા સુધીનું કરી લેજે. પછી કાલે વિસ્તાર વધારવાનું પાછું. રોજ વિસ્તાર વધારવાનો પછી. ઓળખાણવાળા, માસ્તર બધાં આવી જાય. પછી તારી જોડેના કોલેજિયનો એનું પ્રતિક્રમણ કરવાનું. બધાંની સાથે ચોખ્ખું કરવાનું. માનસિક સંબંધ ચોખ્ખો કરવાનો. જે કર્મો બંધાઈ ગયેલાં હશે તે પછી જોઈ લેવાશે. પ્રતિક્રમણ કરો છો કોઈ દહાડો કોઈનાં ? અત્યાર સુધી આ બધાં શેઠીયાઓ-બેઠીયાઓ, બધા ઓળખાણ થયેલાંને, તે આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. પહેલાં રાગ-દ્વેષ જ્યાં કરેલાં હોય, ત્યાં પ્રતિક્રમણ કરવાં પડશેને ? અને એ ચોખ્ખું કરવામાં જે આનંદ આવે છે એના જેવો કોઈ આનંદ જ નથી બીજો. થઈ ગયા એ તો અજ્ઞાનતામાં થયા, પણ હવે જ્ઞાન થયા પછી આપણે એને ધોઈએ નહીં, એ કપડાં પેટીમાં મૂકી રાખીએ તો ? (પા.૩૯૩)તમે તો બહુ પેટીમાં મૂકી રાખ્યા, નહીં ? જોજો ને, મહીં ડાઘ પડેલા હશે. પછી ફ્રેન્ડ સર્કલ (મિત્રવર્તુળ) પકડવું. પછી બીજું સર્કલ પકડવું. કામ તો બધું બહુ હોય છે. આવી ગોઠવણી મૂકી દઈએ કે અમુક જગ્યાએ આ રહી ગયું આટલું. અમુક જગ્યાએ આ બાકી રહી ગયું. એના પ્રતિક્રમણ કર્યા કરીએ. હા, નહીં તો મનને શું કામ આપવાનું ? આ પ્રતિક્રમણ કરે. એ સંસાર સંબંધ હેતુ માટે નથી. સંસાર સંબંધના હેતુ માટે તો વેપારીઓ છે તે પછી મનને ચલાવડાવે કે આવતી સાલ આમ કરીશું, પછી ત્યાં ગોડાઉન બાંધીશું, પછી એ કરીશું, એમાં બે-ચાર કલાક કાઢે. ‘અમે’ આમ કરેલું નિવારણ વિશ્વથીચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધા દેખાય. જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું ? એટલે કૃપાળુદેવે શું કહ્યું હતું ? ‘‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજ દોષ, તો તરીયે કોણ ઉપાય ?’’ તે પોતાના દોષ દેખાય. દોષ છે તેનો વાંધો નથી. તે કોઈનામાં પચ્ચીસ હોય કે કોઈનામાં સો હોય, અમારામાં બે હોય. તેની કંઈ કિંમત નથી. ઉપયોગ જ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી. ‘ચંદુભાઈ’ને ‘તમારે’ એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક-એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ (પા.૩૯૪)બોજો હલકો થઈ જશે. એમને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની, પણ તમે શુદ્ધાત્મા છો તે વખતે તમારા શુદ્ધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે. ચંદુભાઈને કહીએ, આલોચના કરી લો. પછી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરાવડાવો. તે કલાક-કલાક કરાવડાવો. ઘરનાં દરેક માણસના કરાવડાવો. જેની જોડે સંબંધ હોય તેનાંય કરવાં પડે. ઋણાનુબંધી ત્યાં જ ચીકણુંનિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી. નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવા વધારે હોતા નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળા ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવાદેવાવાળો છે તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે. પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકના ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે. બધું ચોખ્ખું થાય ત્યારે વાણી સારી નીકળે. નહીં તો વાણી સારી નીકળે નહીં. આ બધું ચોખ્ખું જ. બધી બાબત, જ્યાં જ્યાં ઓળખાણ માત્ર છે એ બધાનું જિલ્લાવાર કરવું જોઈએ. લત્તાવાર પ્રતિક્રમણ કરવું જોઈએ, આ વકીલ છે તે વકીલો, પછી જજો એટલે બધા જ જજો આવે. બીજા બધાં પ્રતિક્રમણ બહુ કરવાં પડે. રસ્તામાં આવતાં-જતાં, (પા.૩૯૫)કંઈ વાતચીત કરતાં એ થયું હોય, તો એમના નામથી પ્રતિક્રમણ કરવું. આ રસ્તે ચાલતાં ઠોકર વાગી તો શાથી ઠોકર વાગી ? એ બધાં સાર કાઢીએ કે આ રસ્તે ચાલ્યા માટે ઠોકર વાગી. એટલે ફરી ના થાય, પણ આપણે ફરી ઊથામવાનું નહીં એને. પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલા તમારા સર્કલમાં પચાસ-સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક-કલાક બેસીને, એક-એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. એમાં બેઉ છેપ્રશ્નકર્તા : નાનપણમાં એક છોકરીના દસ રૂપિયા ચોરી લીધા ને બીજી છોકરીને જરૂર હતી તેના કંપાસમાં છાનામાના મૂકી દીધા’તા, તેનું પ્રતિક્રમણ થયું. દાદાશ્રી : આ કેવું છે ? આપ્યા તે દાન કર્યું. તેનું પુણ્ય બંધાયું. ને ચોરી તેનું પાપ બંધાયું. હવે પુણ્ય કર્યાં તો સો મળ્યા ને પાપ કર્યું તેનાં ત્રણસો ખોયા. આવું છે જગત. ઘાલમેલ કરવામાંય નુકસાન છે. એટલે બધાં જેટલાં ઓળખાણવાળાં છે એ પ્રતિક્રમણમાં લેવા. પછી બધા અસીલો, વકીલો, જજ પ્રતિક્રમણમાં લેવા. પછી જેની જોડે પરિચય થયો એ બધા લેવા. બપોરે આરામ કરતી વખતે પ્રતિક્રમણ કરવાનું લો. એટલે ઊંઘેય આવે નહીં અને આ પ્રતિક્રમણો થાય અને આરામેય થાય. અમારે એવી રીતે લેવાય. પણ અમારું બધું પૂરું થઈ ગયેલું હોય. સાધુ-સાધ્વીઓનું પ્રતિક્રમણપછી આ ભવ, ગત ભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દીગંબર ધર્મની, સાધુ, આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી, કરાવી હોય તો તે બદલ દાદા ભગવાનની (પા.૩૯૬)સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું પ્રતિક્રમણ લેવાનું. આમ કરજો પ્રતિક્રમણઅરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, ફલાણા તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ. એમ. પટેલને’ કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધા હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામા, કાકા, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાના (તિરસ્કાર) ધોઈ નાખ્યા. પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું ? સામે જઈને નહીં ? દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધા મને દેખાય છે. હવે તો તે બધા ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે ચંદુભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું’ એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય. પ્રશ્નકર્તા : રૂબરૂમાં પ્રતિક્રમણ કરાય ? દાદાશ્રી : રૂબરૂમાં કરાય. રૂબરૂમાં કરીએ તો બહુ ખાનદાન માણસ હોય તો જ કરાય. નહીં તો પાછો કહેશે, ‘હવે ડાહી થઈને ! (પા.૩૯૭)હું કહેતો હતો ને ના માન્યું, ને હવે ડાહી થઈ !’ મેર ચક્કર, અવળો અર્થ કર્યો એને ? પછી ડફળાવી મારે બિચારીને. એના કરતાં ના કરશો. આ લોક તો બધાં અણસમજુ. એ તો કોક જ ખાનદાન માણસ હોય તે નરમ થઈ જાય અને પેલો તો કહેશે, ‘હવે ભાન થયું ? હું ક્યારનો કહું છું, માનતી નહોતી.’ એ શું કહેશે એય મને ખબર હોય અને તમને શું થયું તેય મને ખબર હોય. નાટક, ડ્રામા ! એટલે આવું પ્રતિક્રમણ અમે કરી નાખીએ. બુદ્ધિવાળા જગતમાંઅમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાક કાળથી જાતે ધોતા આવ્યા હતા. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું. એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક’ કરતા હતા ને ? પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય. આ પ્રતિક્રમણ કરી તો જુઓ ! પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય, જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર ! અહીં માર ખાઈને પડી રહેવું સારું અને ત્યાં માલ ખાઈને પડી રહેવું તેય ખોટું છે. જગ્યા સારી-ખોટી જોઈ લેવી જોઈએને ? પ્રશ્નકર્તા : તમે મને પ્રતિક્રમણ આપેલું જ્યારે આ પગ પેલો થયેલોને ત્યારે પણ બે દિવસમાં એની જાદુઈ અસર હતી, એ પ્રતિક્રમણની. દાદાશ્રી : અમે આશીર્વાદ મોકલ્યા’તા. પ્રશ્નકર્તા : એની બહુ જાદુઈ અસર થઈ બે દહાડામાં. (પા.૩૯૮)દાદાશ્રી : જાદુઈ અસર છે આ અમારી, આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરે તો. ભગવાન ન કરી શકે એટલું કામ આ કરી શકે. હવે ન પોષાય ગલીપચીઓપ્રશ્નકર્તા : એમાં સારો અનુભવ થયો. દાદાશ્રી : હા, એટલે વસ્તુસ્થિતિમાં આટલો સહેલો માર્ગ છે આ. સરળ છે. સમભાવી છે. કશું ઉપાધિ નહીં. અને પાછા માર્ગ બતાવનાર અને કૃપા કરનારા પોતે શું કહે છે, હું નિમિત્ત છું. માથે પાઘડીએ પહેરતા નથી. હેય, નહીં તો છેલ્લો ધોળો પાઘડો ઘાલીને ફર્યા કરે, તો આપણે ઉપાધિ પાછી, પાઘડીની. એટલે બધું સરળ થઈ પડ્યું છે. તો હવે આપણું કામ પૂરું કરી લો, એવું કહેવા માગું છું. બહુ સરળ નહીં આવે, આટલું બધું સરળ નહીં આવે ફરી. આવા ચાન્સ નહીં મળે. માટે આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચીઓ ઓછી થવા દોને. આ ગલીપચીઓમાં મજા નથી. લોક તો ગલીપચી કરનારા મળશે પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે. એક અવતારે આ હવે અરધો અવતાર રહ્યો. આ એક આખો ક્યાં રહ્યો છે ? એમના શુદ્ધાત્માને નમસ્કાર કરીનેપ્રશ્નકર્તા : આપે જે સગા-સંબંધીઓનું પ્રતિક્રમણ કરવાનું જે કીધું એટલે એ લોકોની સાથે કંઈ એટલે કે જોયા જ કરવાનું કે બોલવાનું કશું ? દાદાશ્રી : મનમાં બોલવાનું. પ્રશ્નકર્તા : એમના પ્રત્યે રાગ કર્યો હોય તો એ પણ દોષ છે, દ્વેષ કર્યો હોય એ પણ દોષ છે, તો એનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : રાગ-દ્વેષ એકલું નહીં, બધી બહુ ચીજ બોલવી પડે. આ ભવમાં, સંખ્યાત-અસંખ્યાત ભવમાં રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે દોષો થયા હોય તેનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું, એવું બોલવું પડે. (પા.૩૯૯)પ્રશ્નકર્તા : આ ભવ, અસંખ્યાત ભવથી જે કંઈ રાગ-દ્વેષ થયા છે તે બધાનું ? દાદાશ્રી : રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે જે દોષ થયા હોય, અગર આક્ષેપો કર્યા હોય, અહંકાર ભગ્ન કર્યા હોય, એ બધું બોલવું પડે. એ બોલી રહ્યા, એટલે એક ફાઈલ પતી, પછી બીજી ફાઈલ, જેમ ડૉક્ટરો પેશન્ટ (દર્દી)ને કાઢે છેને ? અમે તો ગામવાળા જોડેય ચોખ્ખું કરી નાખ્યું. ગામમાંય અમારી ખડકીમાં ખોળી ખોળીને કર્યું. અણસમજણથી કરેલા દોષો જ બાંધેલા હોય. તમે બાંધેલા કે નહીં બાંધેલા કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ઘણાં. પોતાની પડીકી પેસાડાય નહીંપ્રશ્નકર્તા : મેં ચોપડીમાં વાંચેલું છે કે સંખ્યાત-અસંખ્યાત ભવોનાં પ્રતિક્રમણ કરીએ તો ચોખ્ખું થઈ જ જાય છે. આગલા ભવમાં દોષો થઈ ગયેલા હોય તેનું ? દાદાશ્રી : કંઈક આગલા થયેલા હોય તો અડસટ્ટો ના હોય. એ તો મહીં ક્લેઈમ (દાવો) લેતો આવેલો હોય. કંઈક ક્લેઈમ લઈને આવે, કાગળ લઈને આવે એટલે સમજી જવાનું કે આ પેલો હિસાબ છે. અત્યારનું આ વખતનું નથી લાગતું ને પહેલાનું લાગે છે. પ્રશ્નકર્તા : હા, પણ ક્લેઈમ લઈને આવે જ નહીં એટલા માટે આપણે આગળથી જ પ્રતિક્રમણ કરી નાખવાં હોય કે જે એકદમ શુદ્ધ જ થઈ જાય ને જલદી બધાં પ્રતિક્રમણ થઈ જાય આપણાં, તો એવી રીતે ક્લેઈમ લઈને ન આવેલાં દોષોનું પણ પ્રતિક્રમણ કરવું હોય તો આવી રીતે બોલીએ તો એનું પ્રતિક્રમણ થાય ? દાદાશ્રી : ક્લેઈમ લેતો આવે તો જ થાય. ક્લેઈમ ના લેતો હોય તેને કશું લેવાદેવા નહીં. ક્લેઈમ હોય તેનું પ્રતિક્રમણ થાય. (પા.૪૦૦)પ્રશ્નકર્તા : તો પછી એક-એક, એક-એક દોષ ક્લેઈમ લે ત્યાં સુધી છૂટાય જ નહીંને ? સંખ્યાત-અસંખ્યાત ભવોના દોષો જે જે કર્યા હોય તેનું પેલું બાધેભારનું પ્રતિક્રમણ છેને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : તેની માફી માગું છું, પ્રતિક્રમણ કરું છું તો એનું કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : એ તો એટલું જ બોલવાની જરૂર. બીજું કશું બોલવાનું નહીં. બીજું પ્રતિક્રમણ કરવામાં એમાં પોતાનો હિસાબ નહીં કરવાનો. આમ ને આમ લખ્યું હોય તે જ કરવાનું. બીજું એટેક લઈને આવ્યો હોય એટલાનું જ કરવાનું. બીજું કંઈ નહીં. જ્ઞાનમાં કહ્યું એટલું બાધેભારેનું કરવાનું. પ્રશ્નકર્તા : પણ દાદા, જેવું એટેક હોય એવું જ વારે વારે લાગતું હોય તો પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ તો કરીએ પણ... દાદાશ્રી : અમે કહીએ છીએ એટલું જ કરવાનું, વધારે બીજું કરવાનું નહીં. પ્રશ્નકર્તા : ના, પણ બીજે જે ફાજલ સમય હોય તો કલાકોના કલાકો સુધી એ જ બોલ્યા કરીએ તો ચાલે ? દાદાશ્રી : અમે કહ્યું છે, એ જ પ્રમાણે કરવાનું. ફાજલ સમય હોય તોય કે આ ભવમાં કર્યું તે, સંખ્યાત-અસંખ્યાત ભવમાં, બધુંય... બીજું પોતાનું ડહાપણ નખાય નહીં. ઘરની પડીકી ન નખાય એમાં. અર્ધું પોઇઝન થઈ જાય. અને ક્લેઈમ લઈને આવ્યો તેના પૂરતું. નવું નહીં, નવું ના બોલવું. જે છે એ પ્રમાણે કર્યા કરવું. બુદ્ધિ અવળું ચીતરી આવે. મારી નાખે એ. આમ કરીએ તો શું વાંધો છે ? એવું દેખાડે. હંમેશાં રાગ ક્યારે ઉત્પન્ન થાય છે ? દ્વેષમાંથી ઉત્પન્ન થયેલો હોય અને પછી રાગમાંથી પાછો દ્વેષ ઉત્પન્ન થાય. એટલે બધા દોષ જ છે. દોષ હોય ત્યાં રાગ-દ્વેષ હોય, એ ચીકણી ફાઈલ કહેવાય ! (પા.૪૦૧)આના પર ખડો સિદ્ધાંત મહાવીરનોઆપણે જેનાં પ્રતિક્રમણ કરીએને તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય છૂટી જાય, આ ભવમાં જ ! આ એક જ ઉપાય છે. આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમને તરત યાદ આવે ! ખૂંચે તેનું પ્રતિક્રમણએવું છે, જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્વેષવાળી દરેક ચીકણી ‘ફાઈલ’ને ઉપયોગ મૂકીને, પ્રતિક્રમણ કરીને, ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ. આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોઇએ તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય. અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે, પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાંજુદાં હોય. કારણ કે એ પોતે સમજી ગયો છે કે, મારે ગુનો થયો છે એટલે ખૂંચ્યા કરે. જ્યાં સુધી એનું પ્રતિક્રમણ ના થાય ત્યાં સુધી ખૂંચ્યા કરે, નહીં ? પ્રશ્નકર્તા : બહુ ખૂંચતું હતું. (પા.૪૦૨)દાદાશ્રી : આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી ખૂંચે છે. ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની. નહીં તો અંદર જ માફી મંગાય તોય હિસાબ ચોખ્ખો થઈ જાય. બેઉ પ્રતિક્રમણ કરે ત્યારેકોઈનેય માટે અતિક્રમણ થયાં હોય તો આખો દહાડો તેના નામનાં પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે. પણ જો સામોવાળો ના કરે ને તારે છૂટવું હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : જ્યારે આવું કંઈક રહી જાય તો મનમાં ખૂબ થયા કરે કે આ રહી ગયું. દાદાશ્રી : એ કકળાટ નહીં રાખવાનો પછી. પછી એક દા’ડો બેસી બધાં ભેગાં પ્રતિક્રમણ કરી નાખવાનાં. જેનાં જેનાં હોય, ઓળખાણવાળાનાં, જેની જોડે વધારે અતિક્રમણ થતું હોય એનાં નામ દઈને એક કલાક કરી નાખ્યું તો બધું ઊડી ગયું પાછું. પણ એવો આપણે બોજો નહીં રાખવાનો. પ્રશ્નકર્તા : સવારમાં સામાયિકમાં બેસીએ છીએ તે એનો અડધો-પોણો ટાઈમ પ્રતિક્રમણ કરવામાં જ જતો રહે છે. દાદાશ્રી : તે ઘડીએ એવો બોજો નહીં રાખવાનો. પંદર દહાડે, મહિને કરોને, બાર મહિને કરો તો ત્યારે ભેગાં કરી નાખો. અતિક્રમણનાં અતિક્રમણોઅતિક્રમણને સાચવવા માટે મોટું અતિક્રમણ કરે, એને સાચવવા (પા.૪૦૩)માટે એથી મોટું અતિક્રમણ કરે. પ્રશ્નકર્તા : એટલે આંટીઓ વધતી જ જાય. દાદાશ્રી : અરે, આંટી એવી વધે તે ફરી ઠેકાણું જ ના પડે. રાત-દહાડો બૂમાબૂમ કરાવડાવે. એટલે પછી મનુષ્યોમાં આંટીઓ છૂટતી નથી. માટે એ છૂટવા માટે ચાર પગમાં જવું પડે છે. પ્રશ્નકર્તા : એટલે પહેલું અતિક્રમણ બંધ થાય. અતિક્રમણ થોડો ટાઈમ બંધ થાય ત્યાં સુધી પેલો ભોગવી આવે. દાદાશ્રી : ના. ભોગવે એટલે પેલું બધું ધોવાઈ જાય પછી. અતિક્રમણ કર્યાં હતાં તેનું એ પ્રતિક્રમણ કરે. પ્રશ્નકર્તા : એટલે ચાર પગમાં બીજાં અતિક્રમણ તો કરે નહીં, ભોગવવા જાય. દાદાશ્રી : બીજી કશી ભાંજગડ નહીં. ભોગવવાને માટે જ ભોગવે, બસ. એ ભોગવે એટલે પછી પાછો આવે. એવું કશું નહીં કે ત્યાં ને ત્યાં ચોંટી રહે છે. એ કહેશે, મારે હવે અહીંના અહીં ચોંટી રહેવું છે, તોય ચોંટવા ના દે. હિસાબ ચૂકતે થઈ ગયો કે જાવ અહીંથી. ચાલ્યા જાવ. પ્રશ્નકર્તા : અતિક્રમણ બહુ કર્યાં હોય તો પશુયોનિમાં જ જાય ? દાદાશ્રી : વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ. અને બહુ મોટાં અતિક્રમણ થાય, એથી પણ મોટાં તો પછી નર્કયોનિ. પ્રશ્નકર્તા : કેટલાક પશુઓને માણસો કરતાંય બહુ સારી રીતે રાખે છે. દાદાશ્રી : એ તો કોઈ પુણ્યશાળી હોય ને પછી અતિક્રમણ વાળાય પુણ્યશાળી હોયને પાછા. પ્રશ્નકર્તા : એટલે બન્ને કર્મ સાથે કર્યાં હોય, અતિક્રમણ કર્યું (પા.૪૦૪)હોય અને પુણ્ય કર્યું હોય. દાદાશ્રી : અરે, અતિક્રમણ તો પેલાના હિતને માટે કરતો હોય. પ્રશ્નકર્તા : પણ તમે કહો છો ને કે સામાના હિતને માટે કરેલું અતિક્રમણ ગુનામાં નથી આવતું. દાદાશ્રી : તે પુણ્ય આપે, ગાયકવાડ સરકારના ઘેરે બળદ તરીકે આવે. ઋણ પ્રમાણે ભોગવટોઆ ભ્રષ્ટાચાર કરે એ બધું પાશવતા કહેવાય. એ બધું ભોગવવા જાનવરના અવતારમાં જવું તો પડે ને ? પ્રશ્નકર્તા : સારું-ખરાબ ગમે તે બધું ઋણ ચૂકવીને જવાનું ને ? દાદાશ્રી : હા, ઋણ તો બધું ચૂકવવું જ પડશે ને ? આપણે આ જ્ઞાન લીધા પછી ઋણ ના બંધાય એવો રસ્તો આપણી પાસે છે જ. આપણે જેટલા શુદ્ધાત્મામાં રહીએ તેટલું બિલકુલ ઋણ બંધાતું નથી. અને શુદ્ધાત્મામાંથી ચૂક્યા અને અતિક્રમણ થયું તો તેનું પ્રતિક્રમણ કરવાથી બધું ધોવાઈ જાય છે. એટલે આપણે જાગૃત રહીએ તો ! બાકી આ જ્ઞાન લીધા પહેલાં જે કર્મ બંધાયેલાં છે તે અમુક કર્મો ઓગળી ગયાં, ખલાસ થઈ ગયાં અને જે કર્મોનો ગઠ્ઠો થઈ ગયો હોય, જામી ગયેલાં હોય તે કર્મો તો ભોગવવા જવું પડે. પણ તે બહુ લાંબું નથી હોતું. પ્રશ્નકર્તા : આપ મળ્યા પહેલાં તો જાતજાતનાં દોષો કરેલા તેનું શું કરવું ? દાદાશ્રી : એનું જાથું પ્રતિક્રમણ કરવું. જાથું એટલે ભેળસેળવાળું. રોજ અડધો કલાક કરવું. નાનપણમાં કો’ક છોકરાને પથરો માર્યો હતો તેનુંય પ્રતિક્રમણ કરી નાખો. પ્રતિક્રમણ કરો એટલે પુદ્ગલ શુદ્ધ થઈ જાય. (પા.૪૦૫)પ્રશ્નકર્તા : ગમે તેવું મોટું પાપ થયું હોય તો પણ એ પ્રતિક્રમણથી નાશ પામી જાય ? દાદાશ્રી : ભયંકર પાપ કર્યું હોય પણ પ્રતિક્રમણ કર્યું હોય તો પાપ નાશ થાય. પ્રશ્નકર્તા : કોઈના હાથે ખૂન થયું હોય તોય, દાદા ? દાદાશ્રી : હા, ખૂન નહીં, બે ખૂન કરે, આખું ગામ બાળી મૂકે તોય. પ્રશ્નકર્તા : પણ એ પ્રતિક્રમણ હોવું જોઈએ ? દાદાશ્રી : એ સરસ (હૃદયથી પસ્તાવાપૂર્વક) હોવું જોઈએ. જેવું અતિક્રમણ એવું પ્રતિક્રમણ હોવું જોઈએ. છૂટક છૂટક થાય તે જ સાચુંબધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે, ત્યારે છૂટ્યા. તમારે જેટલાં પ્રતિક્રમણ થયાં એટલો છૂટકારો થઈ ગયો. જેટલાં બાકી રહ્યાં, એટલાં રહ્યાં, તે ફરી પ્રતિક્રમણ કર્યા જ કરવાનાં. પ્રશ્નકર્તા : આપણે આખા જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થાય એવું કહેવાય ? એ છૂટક છૂટક કરીએ ત્યારે. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલાં જે કર્મ કર્યાં છે, હવે એનું સરવૈયું કાઢવા બેઠા છે કે આ કર્યું છે. તે ક્યારે પ્રકાશમાં આવશે ? દાદાશ્રી : એ યાદ આવે તો પ્રતિક્રમણ કરવું. જેટલાં યાદ આવે એટલાં પ્રતિક્રમણ કરવાં. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ. તે દહાડે બેસવું. તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય. (પા.૪૦૬)‘સોફ્ટવેર’, પ્રતિક્રમણનુંઆ અપૂર્વ વાત છે, પૂર્વે સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે. આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ, તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છેને, કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે જે દોષ થયા હોય, બધા યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુદ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યાંથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પછી ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર ફરી નાના નાના દોષ પણ આવી જાય. પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથીય નાના દોષો આવી જાય, આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે. બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોંટેલા દોષોને ધોઈ નાખવા. અને ફરી ક્યારેય એવા દોષો નહીં કરું એમ નક્કી કરવું એટલે કે પ્રત્યાખ્યાન થઈ ગયું. આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યાં કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકા થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી ખોળીને પ્રતિક્રમણ કરી નાખવાં. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો’કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે, લાતેય દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લીંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે ? (પા.૪૦૭)પ્રશ્નકર્તા : કર્યું હતું. દાદાશ્રી : ફરી કરવાની કોઈએ ના પાડી છે ખરી ? પ્રશ્નકર્તા : ના, હમણાં ફરી કરાતું હતું. એક દિવસ એ બધા બેઠા હતા. દાદાશ્રી : આ તો ઘેરેય કરવું હોય તોય થાય આપણે. પ્રશ્નકર્તા : આજે પહેલીવાર સામાયિકમાં બેસાયું દાદા, ઘણો આનંદ થયો. દાદાશ્રી : એટલે બધાનાં પ્રતિક્રમણ કરે, ઘરવાળાનાં તો રોજેય, પછી આપણા નજીકના સગાંઓનાં, જેને તણછા વાગ્યા હોય એ બધાનાં પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં. યાદ આવે કે ના આવે ? પ્રશ્નકર્તા : આવે ને. રોજ સામાયિકમાં બેસીને કર્યા કરવાનું. દાદાશ્રી : આ પ્રતિક્રમણ કરવાથી તને એમ મહીં ખાત્રી થઈ કે હવે આ અનુભવ સારો થયો ? પ્રશ્નકર્તા : દાદા, પહેલાં કેવું હતું કે પ્રતિક્રમણ કરુંને, તો મને એમ જ થાય કે મારો દોષ નથી ને ખોટું-ખોટું શું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : ના, પણ હવે ? પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવે. દાદાશ્રી : આજે આનંદ થયો ? પ્રશ્નકર્તા : હા, શું ભૂલ એ સમજાઈ, પહેલાં તો એ સમજાતું જ ન હતું. હવે થોડા વખતથી સમજાય છે. દાદાશ્રી : હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. હંમેશાં આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. અતિક્રમણથી જો (પોતાને) દુઃખ ના થાય તો એ માણસ, માણસ નથી. (પા.૪૦૮)પ્રશ્નકર્તા : મૂળ ભૂલ કઈ, દાદા ? દાદાશ્રી : પહેલાં ભૂલ જ દેખાતી ન હતીને ! હવે દેખાય છે તે સ્થૂળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મ, સૂક્ષ્મતર... દાદાશ્રી : ભૂલો દેખાતી જશે. આ તો જાડું ખાતું. ઉપરનો દેહ દેખાયો. મહીં કેવાં છે એ શું ખબર પડે ? આ બે બેનો ઉપર ગોરાં ગપ જેવાં છે, મહીં કેવાં છે એ શું ખબર પડે ? એટલે મહીંનું જુએ ત્યારે મૂળ ભૂલ સમજાય, સમજાય છે તને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ ઢીંગલી જેટલો દેહ, ચણા જેટલું આપણું નાક, પણ આ સમજણ જુઓને, કેટલી ભરેલી છે ! નિશાની, જીવંત પ્રતિક્રમણ તણીઆપણાં અહીં બે-ત્રણ કલાક પ્રતિક્રમણ કરે, તે બે-ત્રણ કલાક સુધી તો દોષો જ દેખાય. આને જીવતું પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ કરવા બેસે ને, તે ઘડીએ તો શુદ્ધાત્મા થઈ જ જાય. પ્રતિક્રમણ કરવા બેસે પછી તો પ્રતિક્રમણ થા થા કરે છે કે ? આપણે ના કરવાં હોય તોય થયા કરે ? પ્રશ્નકર્તા : હા, પછી થયા કરે. દાદાશ્રી : મેં કહ્યું, ‘બંધ કરી દો હવે તો ?’ પ્રશ્નકર્તા : તો ગરગડી ચાલુ જ રહે. દાદાશ્રી : કોણ ચલાવે છે એ ? ત્યારે કહે, ‘શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, આ બધી ક્રિયા છે તે પ્રજ્ઞાની છે. પહેલાં ‘અજ્ઞા’ની ક્રિયા હતી. આ જે પેલા લોકો બધા શુદ્ધાત્મા બોલે છે તે ‘અજ્ઞા’ની ક્રિયા ચાલુ રહી છે, પ્રજ્ઞાની ક્રિયા ઉત્પન્ન થઈ નથી. શું થયું ? આપણે ‘અજ્ઞા’ની (પા.૪૦૯)ક્રિયા બંધ થઈ ગઈ છે અને પ્રજ્ઞાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે. ‘અજ્ઞા’ની ક્રિયા શું કરે ? અજ્ઞા એ નિરંતર સંસાર જ વીંટાળ વીંટાળ કરે, નવો નવો રોજ રોજ (સંસાર) ઊભો જ કરી આપે. ‘હાર્ડવેર’ પ્રતિક્રમણનુંઆખી જિંદગીનાં પ્રતિક્રમણ તમે કરો છો, ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાના ફોન-બોન બંધ હોય, અંતઃકરણ બંધ હોય. તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્માય આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય. પછી બીજો લેયર (પડ) આવે. એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા કલાકમાં આ બધાનું સરવૈયું આવે. ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાનપ્રકાશ છે, એ મેમરી (સ્મૃતિ) નથી. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આત્મા ઉપર ઈફેક્ટ (અસર) થાય ખરી ? દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંજ્ઞી કહેવાય. આ તો આત્મા છે એ હંડ્રેડ પરસેન્ટ ડીસાઈડેડ છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકા થયેલા ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તૂટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી જરૂર નથી. કારણ કે આ ગુના રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુના થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયા છે પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે. (પા.૪૧૦)કોઈ દહાડો એકાંતમાં બેઠા હોઇએ, અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતાં કરતાં કરતાં થોડો આત્માનો અનુભવ જામી જાય મહીં, એ સ્વાદ આવી જાય, તે અનુભવ કહેવાય. દોષને સ્વીકાર્યો, કે ગયો એછેવટે કોઈનીય ભૂલ ના દેખાય. પહેલાં દેખાય પછી પ્રતિક્રમણ કરે. પછી કોઈનીય ભૂલ ના દેખાય, એવું જો આખી રાત રહે અને ચોપડા બીડાઈ ગયા તો કામ થઈ ગયું. તમારે પછી તે દિવસ માટેનો આવતા ભવની જવાબદારીનો ભો રહ્યો નહીં. બીજે દિવસે એવી રીતે વર્તવું જોઈએ. અને એવું સર્વ સમાધાની જ્ઞાન છે આ તો. આમાં કશું બાકી રહે નહીં. દોષ થાય ને એનાં પ્રતિક્રમણ કરે તો એ બધું ચોખ્ખું કરી નાખે. પ્રતિક્રમણ એટલે લીધેલું પાછું આપી દેવું. પ્રતિક્રમણ કર્યું એટલે ચોપડા ચોખ્ખા ! એટલે તમે દોષનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ. (તમે જવાબદાર નથી.) આ તો વિજ્ઞાન કહેવાય. તરત જ ફળ આપે, કેશ ઈન હેન્ડ (રોકડું). ધીમે ધીમે થઈ જાય એ તો. અમે કહ્યું એવું એકદમ ના થાય. દોષનો સ્વીકાર કરો, કે ધોવાઈ જાય. પ્રતિક્રમણ કરો એટલે ધોવાઈ જાય. ત્યારે થશે સાચું પ્રતિક્રમણજ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખુંય નિર્દોષ જ છે. તમારા દોષોએ કરીને તમે બંધાયેલા છો, એમના દોષથી નહીં. તમારા પોતાના દોષથી જ બંધાયેલા છો. હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઉકેલ આવશે ! દ્રષ્ટિ નિજદોષ ભણીકો’કની ભૂલ દેખાવાથી સંસાર ઊભો થાય ને પોતાની ભૂલ દેખાવાથી મોક્ષ થાય. પ્રશ્નકર્તા : ‘રિલેટિવ’ તો દેખીતું દોષિત દેખાયને ? (પા.૪૧૧)દાદાશ્રી : દોષિત ક્યારે ગણાય ? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુદ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. આ તો ‘ડિસ્ચાર્જ’ થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે, ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે. પ્રતીતિમાં નિર્દોષ ને વર્તનમાં ?‘ડિસ્ચાર્જ’ માલના આધારે સામો દોષિત દેખાય. પણ પોતાના મનમાં રહેવું ના જોઈએ, નિર્દોષ દેખાવું જોઈએ. પ્રશ્નકર્તા : નિશ્ચયમાં તો ખાતરી છે કે જગત આખું નિર્દોષ છે. દાદાશ્રી : એ તો પ્રતીતિમાં આવ્યું કહેવાય. અનુભવમાં કેટલું આવ્યું ? એ વસ્તુ એવી સહેલી નથી. એ તો માંકડ ફરી વળે, મછરાં ફરી વળે, સાપ ફરી વળે, ત્યારે નિર્દોષ લાગે ત્યારે ખરું, પણ પ્રતીતિમાં આપણને રહેવું જોઈએ કે નિર્દોષ છે. આપણને દોષિત દેખાય છે, એ આપણી ભૂલ છે. એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અમારી પ્રતીતિમાંય નિર્દોષ છે અને અમારા વર્તનમાંય નિર્દોષ છે. તને તો હજુ પ્રતીતિમાંય નિર્દોષ નથી આવ્યું, હજુ તને દોષિત લાગે છે. કોઈ કશું કરે તો પછી તેનું પ્રતિક્રમણ કરું છું એટલે શરૂઆતમાં તો દોષિત લાગે છે. નથી લાગતું ? પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરે એને પ્રતીતિમાં ના કહેવાય ? દાદાશ્રી : પણ આમ તો શરૂઆતમાં તો દોષિત જ લાગે છે ત્યારે પ્રતિક્રમણ કરવું પડે છેને ? પ્રશ્નકર્તા : હા, પછી પ્રતિક્રમણ કરવું પડે છે. દાદાશ્રી : પણ દોષિત લાગે ત્યારે ને ? માટે નિર્દોષ હજુ તને બેઠું નથીને ? (પા.૪૧૨)પ્રશ્નકર્તા : એ નિર્દોષની પ્રતીતિ બેઠી હોય ત્યારે પ્રતિક્રમણ કરી શકાયને ? દાદાશ્રી : પણ દોષિત લાગે છે તેને જોયા કરવાનો. જાગૃતિ વધે તેમ અતિક્રમણ ઘટેપ્રશ્નકર્તા : જેમ જેમ જાગૃતિની અખંડતા વધતી જાય તેમ તેમ પ્રતિક્રમણો ઓછાં થતાં જાય. દાદાશ્રી : પ્રતિક્રમણ તો જો મહીં દોષ થયો હોય તો જ કરવાનાં છે, અતિક્રમણ થયું હોય તો જ. જાગૃતિ વધતી હોય તે દહાડે અતિક્રમણ ભારે થયેલું હોય એવો કોઈ નિયમ નથી. પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ? દાદાશ્રી : થાય, અતિક્રમણેય થાય ને પ્રતિક્રમણેય થાય. ઉપયોગ ચૂક્યાનાંય પ્રતિક્રમણઆવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુંઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટે કરીને રહેવાય અને આ તો સહેજેય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે ! પ્રશ્નકર્તા : એ સમજાય છે, દાદા. દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આ કરવું છે. શુદ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગમાં ચૂકી જવાય અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ. આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા. તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો (પા.૪૧૩)બગાડ) કરે છે, છતાંય એનાં પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકસાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું (જવા દીધેલું). પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દહાડો પાછો ફર્યો જ નથી ને ! પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આગળ ઉપર ચોખ્ખું પ્રતિબિંબ પડે ? દાદાશ્રી : હાસ્તો, બધું ક્લિયર થઈ જાય. દર્શન ચોખ્ખું થઈ જાય ને દર્શન વધે. પ્રતિક્રમણ વગર કોઈ મોક્ષે ગયેલું નહીં. પ્રતિક્રમણ કરે એટલે પોતાના દોષ ઓછા થાય ને ધીમે ધીમે જતા રહે. ઔરંગાબાદનું અજાયબ વાર્ષિક પ્રતિક્રમણ(બીજી) કોઈ જગ્યાએ અમે વિધિ મૂકતા નથી. ઔરંગાબાદમાં અમે અનંત અવતારના દોષ ધોવાઈ જાય એવી વિધિ મૂકીએ છીએ. એક કલાકની પ્રતિક્રમણ વિધિમાં તો બધાનો અહંકાર ભસ્મીભૂત થઈ જાય છે ! અમે ત્યાં ઔરંગાબાદમાં તો બાર મહિનામાં એક ફેરો પ્રતિક્રમણ કરાવતા હતા. તે બસો-ત્રણસો માણસ બસ રડે-કરે ને બધો રોગ નીકળી જાય. કારણ કે બૈરીને એનો ધણી પગે લાગે, ત્યાં આગળ માફી માગે, કેટલાય અવતારનું બંધન થયેલું તે માફી માગે, તે કેટલુંય ચોખ્ખું થઈ જાય ! ત્યાં દર સાલ અમારે બહુ મોટી વિધિ કરવી પડે, બધાનાં મન ચોખ્ખાં કરવા માટે, આત્મા (વ્યવહાર આત્મા) ચોખ્ખો કરવા. મોટી વિધિ કરી અને પછી મૂકી દઈએ કે તે બધાના મન ચોખ્ખા થઈ જાય તે ઘડીએ, કમ્પ્લીટ ક્લિઅર, પોતાના ધ્યાનમાંય ના રહે કે હું શું લખું છું, પણ બધું ચોક્કસ લખી લાવે. પછી ‘ક્લિઅર’ થઈ ગયો. અભેદભાવ ઉત્પન્ન થયોને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તને શક્તિ વધી ગઈ. અને પછી હું તારા દોષોને જાણું ને દોષની ઉપર વિધિ મૂક્યા (પા.૪૧૪)કરું. આ કળિયુગ છે. કળિયુગમાં શું દોષ ના હોય ? કોઈનો દોષ કાઢવો એ જ ભૂલ છે. કળિયુગમાં બીજાનો દોષ કાઢવો એ જ પોતાની ભૂલ છે. કોઈનો દોષ કાઢવાનો નહીં. ગુણ શું છે એ જોવાની જરૂર છે. શું રહ્યું છે એની પાસે ? સિલક શું રહી એ જોવાની જરૂર છે. આ કાળમાં સિલક જ ના રહેને ! સિલક રહી છે એ જ મહાત્માઓ ઊંચે છેને ! ધર્મબંધુઓ જોડે જ વેરજ્ઞાનીપુરુષની આજ્ઞાથી આ પ્રતિક્રમણ થાય, તે અનંત અવતારનાં પાપો બાળી નાખે. આ પ્રતિક્રમણ તે કેવું પ્રતિક્રમણ ? વેર બધાં છૂટી જાય. કારણ કે સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાયેલાં હોય. વર્લ્ડમાં (દુનિયા) બીજા બધા જોડે વેર હોય નહીં કોઈ દહાડોય અને સહાધ્યાયી તો આખો દહાડો યાદ રહ્યા કરે. પ્રશ્નકર્તા : સત્યુગમાં પણ સહાધ્યાયી જોડે વેર બંધાય ? દાદાશ્રી : ના, ત્યારે વેર ના બંધાય. એ સમજણ જ ઊંચી હતી બધાની. અને એ બધો ચીકણો પ્રેમ ! પ્રશ્નકર્તા : સહાધ્યાયી જોડે વેર બાંધવાનું કારણ શું ? દાદાશ્રી : અણસમજણથી. સત્યુગમાં આવું તેવું ના હોય. ચોર એ ચોર, જે લુચ્ચા એ લુચ્ચા અને શાહુકાર એ શાહુકાર. ચોર વગર તો આ દુનિયા રહી જ નથી કોઈ દહાડોય. પણ સત્યુગમાં તેમની વસ્તી થોડી હોય. જે આપણી જોડે હોય, પહેલાંય હતા અને આજેય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાના ધર્મબંધુઓની જોડે જ ભવેભવનાં વેર બંધાયેલાં હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામાં કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એકુય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વધારે વેર બંધાય અને તેમનાં પ્રત્યક્ષ (પા.૪૧૫)પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. આ ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવીએ છીએ એવાં પ્રતિક્રમણ તો વર્લ્ડમાં કયાંય ના હોય. ચોધાર આંસુ સાથે પગલાં પડેપ્રશ્નકર્તા : ત્યાં બધાં રડતાં હતાં ને ! મોટા મોટા શેઠિયાઓય રડતા હતા. દાદાશ્રી : હા, આ ઔરંગાબાદનું જુઓને ! કેટલું બધું રડતા હતા ! હવે એવું પ્રતિક્રમણ આખી જિંદગીમાં એક કર્યું હોય તો બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : મોટા માણસને રડવાની જગ્યા ક્યાં છે ? આ કો’ક જ હોય. દાદાશ્રી : હા, બરાબર. ત્યાં તો ખૂબ રડ્યા હતા બધા. પ્રશ્નકર્તા : મેં તો પહેલી જ વખત જોયું એવું કે, આવા બધા માણસો સમાજની અંદર જેને પ્રતિષ્ઠિત કહેવાય એવા માણસો ખુલ્લા મોઢે રડે ત્યાં ! દાદાશ્રી : ખુલ્લા મોઢે રડે અને પોતાની બૈરીના પગમાં નમસ્કાર કરે છે. ઔરંગાબાદમાં તમે આવ્યા હશોને, ત્યાં એવું જોયું નથી ? પ્રશ્નકર્તા : હા, બીજે આવું દ્રશ્ય કોઈ ઠેકાણે જોયેલું નહીં ! દાદાશ્રી : હોય જ નહીંને ! અને આવું અક્રમ વિજ્ઞાન ના હોય, આવું પ્રતિક્રમણ ના હોય, આવું કશું હોય જ નહીં. પ્રશ્નકર્તા : આવો દાદોય ના હોય ! દાદાશ્રી : હા, આવો દાદોય ના હોય. દુનિયાની મોટામાં મોટી અજાયબી ઔરંગાબાદમાંઆવું ઔરંગાબાદમાં અમે વરસમાં એક વાર સમૂહમાં પ્રતિક્રમણ (પા.૪૧૬)કરાવીએ છીએ એ તો અજાયબી જ કહેવાયને ! આ આપણું પ્રતિક્રમણ થયું એ તો દુનિયાની મોટામાં મોટી અજાયબી છે ! આનાથી તો બહુ શક્તિ વધે. આ તો નરી શક્તિનું જ કારખાનું છે. અને તે ઘડીએ અમે એવડી મોટી વિધિ કરીને મૂકીએ છીએ કે માણસમાં નરી શક્તિઓ જ ઉત્પન્ન થાય. નહીં તો આ વકીલ કંઈ જેવા તેવા માણસ છે ? મરી જાઉં પણ કોઈને પગે ના લાગું કહે, તે શૂરવીર (!) માણસ. પણ એમને એક ફેરો એ શક્તિ ઉત્પન્ન થઈ હતી, ઔરંગબાદમાં પ્રતિક્રમણ કરાવ્યું ત્યારે સારી એવી શક્તિ ઉત્પન્ન થયેલી. અને એ સમજી ગયેલા કે મને આમાં લાભ છે. શક્તિ ઉત્પન્ન થાય, જબરજસ્ત ! નિર્બળતા જતી રહે બધી. આલોચના, આપ્તપુરુષ પાસે જપ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ? દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારે તો અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી. જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે. પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઊલટું, એટલે કોઈને કહે નહીં અને હલકું થવાતું નથી. એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે. પ્રશ્નકર્તા : જ્ઞાનીપુરુષ સમક્ષ આ ભવમાં જે દોષો આપણે કર્યા હોય તેની માફી માંગી શકાય ? દાદાશ્રી : હા. એ દોષો પછી મોળા થઈ જાય. જ્ઞાનીપુરુષ પાસે આ કરવામાં આવે, તે પોતે મોઢે કહે તો ઉત્તમ. મોઢે ના કહી શકે તો કાગળ લખીને આપે એ સેકન્ડરી. અને મનમાં ને મનમાં કર્યા કરે એ થર્ડ સ્ટેજમાં. એટલે જે ‘સ્ટાન્ડર્ડ’માં બેસવું હોય તે ‘સ્ટાન્ડર્ડ’માં (પા.૪૧૭)બેસવું. સેકન્ડમાં બેસવું હોય કે ફર્સ્ટમાં બેસવું હોય, એ આપણી મરજીની વાત છે. પ્રશ્નકર્તા : એટલે એ પોસિબલ (શક્ય) ખરું ? દાદાશ્રી : હા, ‘પોસિબલ’, એ તો બહુ મોટામાં મોટું પોસિબલ. આ બધા પ્રશ્નોમાં મોટામાં મોટો પ્રશ્ન આ છે. અમને રૂબરૂ કહે, બધાની હાજરીમાં કહે એ ઓર્કેસ્ટ્રા ક્લાસ. પછી તમે કહો કે ના, હું એકલો હોઈશ ત્યારે કહીશ, એ ફર્સ્ટ ક્લાસ અને પછી તમે કહો કે મોઢે નહીં કહું, કાગળમાં આપીશ તો સેકન્ડ ક્લાસ. અને તમે કહો કાગળમાંય નહીં હું મનમાં ત્યાં ને ત્યાં ઘેર કરી લઈશ, એ થર્ડ ક્લાસ. જે ક્લાસમાં બેસવું હોય તેને છૂટ છે. અહીં આગળ પૈસા-બૈસા નથી. પ્રશ્નકર્તા : આ તો એ શક્ય છે કે નહીં, એટલું જ પૂછવું’તું. દાદાશ્રી : હન્ડ્રેડ પરસેન્ટ (સો ટકા) શક્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની પાસે પ્રત્યક્ષ આલોચનાપોતાની કોઈ એક ખાનગી વાત કહેવી હોય તો શાથી લોકો વાત નથી કરતાં ? પછી પેલો દબડાવ દબડાવ જ કરે. લગામમાં આવી ગયું ને, દબડાવે કે ના દબડાવે ? અને આપણે આ દબડાવવા હારુ નથી કરતા. આપણે એને છૂટો કરવા માગીએ છીએ કે, હું તારા દરેક ગુના તને માફ કરી આપું. આ ‘દાદા ભગવાન’ પ્રગટ થયા છે !!! જગતમાં મોટામાં મોટું વાક્ય જ આટલું છે. ખરું સમજવાનું જ આ છે કે આ અમારી પાસે આલોચના કરે ને કર્મ ભસ્મીભૂત થઈ જાય. ક્રમિક માર્ગ એ જુદી વસ્તુ છે અને આ અભેદધર્મ છે, ભેદ જ નહીં, જુદાઈ જ નહીં ! આ બધાને એક દિવસ મેં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બધાને આલોચના માટે, જે જે દોષ થયો હોય તે લખી લાવવા કહ્યું. એમ ને એમ તો રોજ બધા પ્રતિક્રમણ કર્યા જ કરે છે. પણ આલોચના એટલે (પા.૪૧૮)મારી પાસે રજૂ કરો એમ કહ્યું એક દા’ડો. તમારા જે જે દોષો હોય તે મારી પાસે રજૂ કરો. તે અમારી પાસે આલોચના કેવી કરે છે ? ક્યારેય ન બન્યું હોય એવી આલોચના કરે છે. એટલે એમની ખોટામાં ખોટી વસ્તુઓ બધી જાહેર કરી દે છે પણ ઑન પેપર. બીજી રીતે, મોઢામોઢ નથી કહેતા. એટલે ઑન પેપર કરે તોય બહુ થઈ ગયું. પેપરમાં લખી આપે છે, પાછું નીચે સહી કરીને. અને સ્ત્રીઓ હઉ સહી કરીને વાંચવા આપે છે. બધા દોષો દેખાય એને. એટલે બધાય પોતાના જેટલા દોષ થયા હતા, એટલા બધા જ દોષો લખી લાવેલા. એકુય દોષ બાકી રાખેલા નહીં. હવે એવું ક્યારે બને જાણો છો ? અભેદતા હોય ત્યારે. આવી હિંમત ક્યારે આવે ? અભેદતા હોય ત્યારે. સ્ત્રીઓએ પણ કહ્યું કે, અમુક જગ્યાએ મારે આમ થયું હતું ને અમુક જગ્યાએ આમ થયું હતું. નામ સાથે લખેલું. ગમે તે દોષ થાય તેનો વાંધો નથી. બધા દોષો હું તોડી નાખવા તૈયાર છું. તમારા લાખો દોષો હું એક કલાકમાં તોડી નાખવા તૈયાર છું, પણ તમારી તૈયારી જોઈએ. નિર્દોષને દોષ અડે શી રીતે ? મારી પાસે દસ હજાર માણસોએ નબળાઈ ખુલ્લી કરી હશે. તે નબળાઈ કાઢવા તો તમે મારી પાસે આવ્યા છો. મારે એ નબળાઈ બીજા કોઈને કહેવાય જ નહીં. તમારી નબળાઈ તમારા ભાઈને પણ મારાથી ના કહેવાય. તમારા વાઈફનેય ના કહેવાય. તમે કોઈનેય ના કહી શકતા હો એવી તમારી નબળાઈ અમારી પાસે કહો અને એ નબળાઈ કોઈને કહેવાય નહીં અને અમારી પાસે તો નબળાઈ એટલા પ્રકારની કહે કે આખા જીવનમાં નાનામાં નાનીથી મોટી સુધી બધી નબળાઈઓ અમને કહે. એને આલોચના કહેવાય. એ બધા ધોઈ નાખે. પણ અમે જાણીએ ને કે જગત આવું જ હોય. કળિયુગમાં કેવું હોય ? પ્રશ્નકર્તા : આવું જ હોય. દાદાશ્રી : આવું હોય એ અમે જાણીએ ને એની તો અમને (પા.૪૧૯)કરુણા છૂટે કે અરેરે ! આ શું દશા છે ! અમે ધોઈ આપીએ અને અમારામાં કંઈ દોષ ન હતા એવું અમે ઓછું કહીએ છીએ ? અમેય કળિયુગમાં જ જન્મેલા ને ! કંઈ ને કંઈ તો દોષ હોય જ ને ! કોઈના વધારે હોય ને કોઈના ઓછા હોય. આલોચના, સંપૂર્ણ ગુપ્તએ (આલોચના) બીજાને વાંચવા આપીએ તો (પેલો) માણસ આપઘાત કરી નાખે. માટે એ જ કાગળિયું અમે એને વિધિ કરી આપીએ. એના દોષો ભાંગી અને એને જ પાછું આપી દઈએ. કારણ કે તમારા દોષ હું બીજા કો’કને કહું તો તમે આપઘાત કરો. દોષ કહેવા જેવા ના હોય એવા હોય બધા. આ પેપરમાં આવે છે એવા નહીં, સાંભળ્યા ના હોય, વિચારમાં ના આવ્યા હોય એવા દોષો હોય. પ્રાઈવેટ (ખાનગી) દોષો કહેવામાં આવે છે ને એવાં પ્રાઈવેટ દોષો ! પ્રશ્નકર્તા : પણ જ્ઞાની ચરણે આવ્યા પછી આપઘાત શું કરવા કરે ? દાદાશ્રી : જ્યાં સુધી પોતાના દોષો જ્ઞાની જાણે ત્યાં સુધી સારું છે, પણ બીજો કોઈ એ દોષો જાણે તો વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય. એટલે અમે એવું કરીએ નહીં. એવું કોઈને જાણવા ના દઈએ. એ કેટલું ખુલ્લા હૃદયથી એનું ઓપન કરે છે ! પછી એને એનું કાગળિયું પાછું શા માટે આપું છું ? એને હું એમ કહું કે આને ગુપ્ત રાખજે અને મહિના સુધી આ વાંચ વાંચ કરજે અને પસ્તાવો કર્યા કર, હવે એની પર આંસુ પાડ, રડ અને પછી કાગળ બાળી મેલજે. મહિના સુધી વાંચીને પશ્ચાત્તાપ કરજે. મૂળ મેં ઉડાડી દીધું. હવે તારે ઉપરનો ભાગ ચોખ્ખો કરવાનો રહ્યો. એટલું તું કરજે. પ્યૉર હાર્ટ ત્યાં જ એકતાએકતા આવી ગઈ એ ‘હાર્ટની પ્યૉરિટી’ (હૃદયની શુદ્ધતા) કહેવાય. મારે બધાની જોડે એકતા આવી જાય. કારણ કે હાર્ટ ‘પ્યૉર’ (પા.૪૨૦)જ છે ને ! મને તો અભેદ જ લાગે બધા. અને પોતાનું જે અૅફિડેવિટ (ગુનાની કબુલાત) લખે છે, તેમાં એકે દોષ લખવાનો બાકી નથી રાખતા. પંદર વર્ષની ઉંમરથી માંડીને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના બધા દોષો, એકેય દોષ બાકી નથી રાખતા, મને જાહેર કરી દે છે. આ છોકરા-છોકરીઓ બધાંય જાહેર કરી દે છે તેનું શું કારણ ? પ્રશ્નકર્તા : એ પ્યૉરિટી છે. દાદાશ્રી : એ પ્યૉરિટી છે. એ જાહેર કરી દે છે, એ પછી હું એને જોઈ વિધિ કરી આપું અને કાગળિયું એને પાછું આપું. આ તીર્થંકરોએ શું કહ્યું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. અમારે ત્યાં આલોચના થઈ ગઈ એટલે થઈ ગયું. પછી આગળ કોઈ ઉપરી છે જ નહીં કે જે મંજૂર કરી શકે. અહીં છેલ્લી જ મંજૂરી છે. તે મંજૂર થઈ ગયું પછી તું એની મેળે પ્રતિક્રમણ કર અને પ્રત્યાખ્યાન ભાવ રાખ કે ફરી આ નથી કરવું. વિવિધ આલોચનાઓએટલે છોકરીઓ બધી માફી માંગી લે બધી. યાદ કરી કરીને બધું, હં. આ પંદર વરસે આવો ગુનો કર્યો હતો, વીસ વરસે આવો કર્યો હતો, આવા ગુના કર્યા હતા, તે બધા ગુના અહીંયાં યાદ કરીને માફી માગી લે. અને મને કહે કે આજે માફી માગું છું માટે માફી આપી દેજો. પછી રહે શું તે તમે જાણો છો ? આપણે આ ઘોડાગાંઠ વાળી હોયને, તે આવતે જન્મે છોડીએને તે બહુ મુશ્કેલી પડી જાય. પણ એને અત્યારે બાળી મેલીએ તો બળેલી ઘોડાગાંઠ રહે, તે આમ કરીએ ને ઊડી જાય. પછી આવતે ભવ એટલું જ કરવાનું રહ્યું, બસ ! તે સહેલો માર્ગ છે કે ખોટો છે ? બધું ધોઈ આપીએ. એક બાઈ તો મને એવું કહેવા માંડી, ‘દાદાજી, મેં તો આ પેલી બેન જોડે વેર બાંધ્યું છે !’ મેં કહ્યું, ‘શેના હારુ વેર બાંધ્યું ? શું વેર બાંધ્યું છે તે ?’ (પા.૪૨૧)તો એ કહે, ‘આવતે ભવે સાપણ થઈને એને કરડીશ ! એવું વેર બાંધ્યું છે.’ મેં કહ્યું, ‘વેર ના બાંધશો.’ ત્યારે એણે કહ્યું કે ‘મેં તો આવું વેર બાંધ્યું છે તો મારે શું કરવું ?’ એટલે પછી મેં એને ધોઈ આપ્યું. પણ એણે આવતે ભવ શું વેર બાંધ્યું ? પ્રશ્નકર્તા : સાપણ થઈને કરડીશ ! દાદાશ્રી : મેં કહ્યું, ‘બેન, આવડું મોટું જોખમ શું કરવા માંડ્યું ?’ ત્યારે એ કહે, ‘અમે પૈણ્યા ત્યારે એને મારા ધણી જોડે મિત્રચારી હતી. એ મારા ધણીને છોડતી જ નથી. એટલે મેં તે દહાડે જ નક્કી કર્યું કે હવે આવતે ભવ હું તને છોડું નહીં. આવતે ભવે સાપણ થઈને પણ તને કરડીશ.’ હવે મેં કહ્યું, ‘હવે તને વેર છે ?’ ત્યારે એ કહે, ‘ના, દાદાજી હવે મારે વેરમાંથી છૂટવું છે.’ ત્યારે મેં કહ્યું કે ‘હું તને છોડી આપું.’ પેલાને બોલાવવાનું નહીં પાછું, એની ગેરહાજરીમાં એ બેનને સમજાવવાનું. ધણીને બોલાવીએ તો ઊલટી ઉપાધિઓ થાય પછી. અહીં માથામાં વાગ્યું હોયને, તોય બેભાન થઈ જાય. અરે ! આટલી શીશી પી જાય તોય બેભાન થઈ જાય. એટલે બેભાન થવું એમાં કંઈ ગુનો નથી. એટલે એવું બેભાનપણું થાય તો ગભરાવાનું નહીં. પણ જે દોષ થાયને એની દાદા પાસે આલોચના કરી નાખવાની કે દાદા, મને માફ કરો. ત્યારે અમે એને વિધિ કરી આપીએ, કે જે દોષ હતા એને શેક્યા અને શેક્યા એટલે એ ઊગવાને પાત્ર રહ્યા નહીં હવે, ફરી ફળ નહીં આપે. એ બધા નિષ્ફળ ગયા. આલોચના પાત્ર કૃત્યોઆ અમે જે જાગૃતિ આપેલી છે, તે જ જાગૃતિ છે, આ કંઈ બીજી જાગૃતિ નથી. એ જાગૃતિને આવરણ આવ્યાં ના હોય તો આજે બહુ દશા ઊંચી હોત. અમે જ્ઞાન આપીએ છીએ, તે દહાડે બહુ ઊંચી જાગૃતિ આવેલી હોય છે. તે ખરી જાગૃતિ છે. (પા.૪૨૨)પ્રશ્નકર્તા : અમે બધા દાદા પાસે ‘કન્ફેશન’ (કબૂલાત) નથી કરતા, દાદાને કશું કહેતા નથી, આવીને ચૂપચાપ બેસી રહીએ છીએ. પોતાના દોષોનું કંઈ વર્ણન કરતા નથી... દાદાશ્રી : અહીં દોષોનું વર્ણન ના કરે તેનો કશો વાંધો નહીં, પણ મહીં જે દાદા બેઠા છે તેની પાસે તો વર્ણન કરે છેને ? પ્રશ્નકર્તા : હા, એ તો કરું છું પણ જાગૃતિ તો વધવી જોઈએને ? નહીં તો જાગૃતિ વધારવા માટે અમે બધા દોષ દાદાને બતાવ્યા કરીએ ? દાદાશ્રી : બધા દોષ મને કહેવાના ના હોય. બધા દોષ કહેવા જાવ તો એનો ક્યારે પાર આવે ? જેને દોષ કાઢવા હોય તેણે મારી પાસે આલોચના કરવી જોઈએ. જેને બહુ મોટો દોષ થયો હોય અને એ દોષ કાઢવો હોય, તો મારી પાસે આલોચના કરે તો આલોચના કરતાંની સાથે જ તે દોષ બંધાઈ ગયો. તેનું મન મારી પાસે બંધાઈ ગયું. પછી એ એનાથી શી રીતે છૂટે ? પછી અમે ભગવાનની કૃપા ઉતારીએ પણ એનું મન અમારી પાસે બંધાઈ જવું જોઈએ. આ બધી માથાકૂટ હું ક્યાં કરવા જઉં ? એટલે એની મેળે આવશે ને કહેશે તો હું દવા કરીશ. હું ક્યાં બધાને ઘેર ઘેર પૂછવા જઉં ? જેટલો ફાયદો થયો, એટલો તો લાભ થયો. બાકી એનો પાર નથી આવે એવો. અને જેને બહુ જાગૃતિ હોય અને ચોખ્ખું કરવાની ઇચ્છા હોય તો તે મારી પાસે આવશે અને મને ખાનગીમાં આવીને કહેશે કે મારો આવો દોષ થઈ ગયો છે. તો એ દોષ બંધાઈ જાય. હંમેશાં આલોચના કરવાથી દોષ બંધાઈ જાય. દોષ બંધાઈ જાય એટલે એ દોષ આપણને બહુ ચોંટે નહીં. જગતને ગમતા હોય એટલા જ દોષ બધાની વચ્ચે મને કહેવા, બીજા બધા ખાનગીમાં જ કહેવા. અમારી પાસે ખાનગીમાં બહુ જણના દોષ આવેલા હોય, પણ તે બધા પ્રાઈવેટ હોય. દોષને ઓપન (પા.૪૨૩)કરવાથી તો લોકો દુરુપયોગ કરે. એક જ્ઞાનીપુરુષ એકલા જ એનો દુરુપયોગ ના કરે. બાકી બીજા બધાય લોકો જાણી જાયને ત્યારથી દુરુપયોગ કરે. આ ઘાલ (પંગત)માં બેસીને જમે ત્યાં વધારે શાક ખાઈ જાય, લાડવા વધારે ખાઈ જાય પણ ઘાલ (પંગત)માં બેસીને જમે છે ને ? એ દોષ ઢાંક્યા ના કહેવાય. ઢાંક્યા દોષ તો આપણે અહીં આગળ છાનામાના કરીએ છીએ, બારણાં વાસીને કરીએ છીએ. અંધારાં ખોળીએ છીએ, એ બધા ઢાંક્યા દોષ કહેવાય ! એવું અંધારું તમે નથી ખોળતાને ? એને છૂપા કામ કહેવાય. હવે એ છૂપાં કરવાનાં કામ ઉઘાડાં કરે તો લોકોનો બહુ તિરસ્કાર પામી જાય. લોકો તરફથી તિરસ્કાર થાય એ વાત અહીં ના કરાય. બીજી બધી ખુલ્લી વાતો હોય તે બધી અહીં કરાય કે મારાથી પરમ દા’ડે ચોરી થઈ ગઈ ને આમ થઈ ગયું, મારાથી જૂઠું બોલાઈ જ જવાયું, મારાથી કોઈને દગો-ફટકો થઈ ગયો, એ બધું કહેવાય. પણ અમુક તો મને ખાનગીમાં કહી શકાય. છૂપું તને ના ઓળખાયું ? જ્ઞાન મળતાં પહેલાં જે છૂપું રહેતું તેને તો તું ઓળખું ને ? એવું જ્ઞાન મળ્યા પછી છૂપું રહેતું તેને તું ના ઓળખું ? છૂપું ના હોય તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : એટલે દાદા, એ મારી દ્રષ્ટિમાં આવી ગયા છે. દાદાશ્રી : દ્રષ્ટિમાં આવી ગયા છે એટલે તું દોષને જાણી ગયો છું પણ તે છૂપા તો રહ્યા જ કહેવાયને ! એને આપણે જમે તો કર્યા ને ? કો’ક માણસને વધારે શાક ભાવતું હોય અને તે બહુ શાક ખાઈ ગયો હોય તો લોકો બૂમો પાડે કે, આટલું બધું શાક ખાય છે. ત્યારે એ કહે છે કે, મારે ખાવું છે. તું કોણ કહેનારો ? એટલે જગતમાં છૂપા રાખવા એટલે શું ? કે એ ઉઘાડું પાડે ત્યારે જગતના સહુ લોકો બૂમો પાડે કે, આવું કર્યું ? આવા ધંધા માંડ્યા છે ? આ તો નિંદ્ય કામ કહેવાય, લોકનિંદ્ય કહેવાય. અહીં ધોળે દા’ડે તમે રસ્તા પર દાઢી કરવા જાવ તો કોઈ વઢે ? તમે કહો કે મારે અહીં (પા.૪૨૪)અજવાળામાં રસ્તા પર દાઢી કરવી છે. તો આપણાથી ના કહેવાય ? કોઈ કહેશે કે મારે સંડાસમાં બેઠા બેઠા દાઢી કરવી છે. ત્યારે આપણે કહીએ કે કરો ભઈ. એ બધી છૂટ હોય. એ બધા છૂપાં રાખવાનાં કામ ના કહેવાય. સાચી આલોચનામાણસે સાચી આલોચના કરી નથી. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબના પુરુષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ? જ્ઞાનીપુરુષ ચાહે સો કરી શકે. કારણ એ કર્તા નથી માટે. જો કર્તા હોત તો એમનેય કર્મ બંધાય. પણ કર્તા નથી માટે ચાહે સો કરે. છેલ્લા ગુરુ, ‘દાદા ભગવાન’ત્યાં આપણે આલોચના ગુરુ પાસે કરવી જોઈએ. પણ છેલ્લા ગુરુ આ ‘દાદા ભગવાન’ કહેવાય. અમે તો તમને રસ્તો બતાવી દીધો. હવે છેલ્લા ગુરુ બતાવી દીધા. એ તમને જવાબ આપ્યા કરશે અને તેથી તો એ ‘દાદા ભગવાન’ છે. તે જ્યાં સુધી એ પ્રત્યક્ષ ના થાય, ત્યાં સુધી ‘આ’ દાદા ભગવાનને ભજવા પડે. એ પ્રત્યક્ષ થાય પછી એની મેળે આવતું આવતું પાછું એ મશીન ચાલુ થઈ જાય. એટલે પછી એ પોતે ‘દાદા ભગવાન’ થઈ જાય. અમારી પાસે ઢાંકે તે ખલાસજ્ઞાનીપુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતોને ? તે ઊલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે, તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ? દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય. (પા.૪૨૫)એફિડેવિટની જેમ જમારી પાસે સ્ત્રીઓ અને પુરુષો એફિડેવિટ કરાવે છેને જેમ ત્યાં પોપ (પાદરી) આગળ પોતાના ગુના, કે ભઈ, તમારા ગુના અમને કહો. ત્યારે ત્યાં અંધારું કરવામાં આવે છે, મોઢું દેખવાનું નહીં. કારણ કે એ પેલો ગુનેગાર સહન કરી શકે નહીં. સામાને જુએ ત્યાં સુધી પોતાનો ગુનો બોલી શકવાની શક્તિ નથી ધરાવતા માણસો. અને મારી પાસે તો ઘણીખરી સ્ત્રીઓ ને ઘણાખરા પુરુષો, સોળ વર્ષની ઉંમર હતી ત્યારથી અત્યાર સુધીનો આખો તકતો આપે છે. આ આવું મોટું એફિડેવિટ થયેલું નહીં. એને આલોચના કહે છે. આખો તકતો દેખાડે, એટલે હું જોઈ લઉં. આશીર્વાદ આપું. એટલે બધું એનું ઊડી જાય. એની મહીં રસકસ ઊડી જાય. જેમ દોરી હોય ને મહીં ગાંઠો પાડ પાડ કરી હોય, પણ એ દોરી આમ બાળી મેલીએ ને ગાંઠો રહે, એ ગાંઠો કંઈ નુકસાન કરે કંઈ ? ના. એવી રીતે હું દોરી બાળી મેલું. પછી ગાંઠો તો હોય પણ તે આમ આમ તમારે કરવું પડશે. એટલે ખરી પડશે બધું ! આલોચના પત્રઅમારી પાસે આલોચના લખી લાવે. તે જેટલા જેટલા દોષ એ પોતે જાણતો હોય, એ બધા જ દોષ આમાં લખે છે. તે પછી એક જણ નહીં, હજારો માણસ ! હવે એ દોષોનું અમે શું કરીએ છીએ ? એનો કાગળ વાંચી, એની પર વિધિ કરીને પાછો એના હાથમાં આપીએ છીએ. અમે કોઈને કહીએ કે આના આવા આવા દોષ છે, સહેજ વાત ફૂટે ને એના દોષો જ્યારે બહાર પડે તો... પોતાના દોષ એ બહાર પડવા નથી દેતો, એટલા માટે તો એ સાચવ સાચવ કરે બિચારો. પોતાના દોષ સાચવે કે ના સાચવે ? બહાર શાથી નહીં પડવા દેતા હોય ? આબરૂ જાય એમ કહેશે. એણે મને લખી આપ્યું તે કંઈ આબરૂ બગાડવા માટે કંઈ આપ્યું છે ? એ તો કહે, સાહેબ મને ધોઈ આપો, મારાં આવા આવા દોષ થયા છે, કંઈક માફ કરી આપો. તે (પા.૪૨૬)એને કેટલો વિશ્વાસ ! વર્લ્ડમાં ના બન્યા હોય એવા દોષો લખે છે ? દોષો વાંચીને જ તમને એમ થઈ જાય કે અરેરે ! આ કેવા દોષ ? આવા હજારો માણસોએ પોતાના દોષ લખી આપેલા. સ્ત્રીઓએ બધા દોષ ઉઘાડા કરીને કહેલાં છે, સંપૂર્ણ દોષ. સાત ધણીઓ કર્યા હોય તો સાતેયના નામ સાથે લખેલા હોય ! બોલો હવે, અમારે શું કરવું અહીં ? વાત સહેજ બહાર પડી તો એ આપઘાત કરી નાખે, તો અમારે જોખમદારી બહુ આવે. એટલે અમે શું કરીએ ? જોખમદારી અમારી પાસે, કારણ કે એની સાત ભૂલો થઈ હોય એને અમે ઉઘાડી કરીએ તો, શું ઉઘાડી કરવા માટે એણે આ આપ્યું છે ? એટલે આમાં તો અમે બહુ જોખમદારી લીધી છે ! કોઈ માણસ છે તે એમની દસ-અગિયાર વર્ષની છોકરી હોય ને એ પછી મને કહે કે, ‘દાદા, મારી નાખવા જેવો છું’. મેં કહ્યું, ‘અલ્યા કેમ ?’ છોડીને પોતે જાતે ઊંચકીને પાછો મહીં હાથ ફેરવી લે, એવું કહે. પ્રશ્નકર્તા : એવું કેવું બાંધ્યું છે એણે ? દાદાશ્રી : એવું એક નહીં, કેટલાય આવ્યા’તા. એટલે તો એની બૈરીને એણે કહ્યું કે, ‘આ છોડી દસ-અગિયાર વર્ષની છેને, તે મને ભોગવવા દેને !’ બાપ હાથ ફેરવે, પછી એ છોડીની દ્રષ્ટિ ફરી જાય અને ફરી જાય એટલે એ બીજા બધાને જો જો કરતી હોય. છોડી વિકારી થઈ જાય પછી. બાપે તો બહુ સ્થિરતાથી રહેવું જોઈએ. એટલે એણે કોઈ સ્ત્રીને જોવાય નહીં. એવું કશું ભાન ના હોયને ! પેલાને તો મારેલો હઉ. એની બૈરી ને બધાયે ભેગા થઈને, કે કેમ આવી માંગણી કરી ? દુષમકાળનાં વર્તન જોયાં બધાં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ છોકરાઓ સત્સંગમાં આવ્યા’તાને, ત્યાં જાત્રામાં, તે સત્સંગના જ માણસો જોડે પૈણેલા. પોતે હોય પચ્ચીસ વર્ષનો અને પેલા પૈણેલા હોય પાંત્રીસ વર્ષના. તોય મને લખે કે એની જોડે મને ભાવ ઉત્પન્ન થયો હતો, એનું પ્રતિક્રમણ કરું છું. આમનું પ્રતિક્રમણ કરું છું. (પા.૪૨૭)અલ્યા મૂઆ, આ બધું કરતો’તો ? અલ્યા, સત્સંગમાં પંદર માણસોની શરમ નહીં ? એવું બધું પ્રાયશ્ચિત્ત, ક્ષમા કરવા જેવું. કાળનો પ્રભાવને ! અત્યારે તો બેનો જોડે, ભાઈઓ જોડે, આ બધું કઈ જાતનું ? આ તો સાંભળવામાં ના આવ્યું હોય, આંખને, કાનને પીડા થઈ પડે. ભટકી ગયા છે ! બહુ થયું, ચેતો, હજી ચેતો ! એક-એક દોષ અસંખ્ય પડવાળાએવું છે ને, આ દુનિયામાં માફી એ મોટામાં મોટું શસ્ત્ર છે. પશ્ચાત્તાપ અને માફી. ભગવાન માફ કરતા નથી. ભગવાનને માફ કરવાનો રાઈટ જ નથી. આ જ્ઞાનીપુરુષ બધા દોષો માફ કરી આપે. એ એજન્ટો છે. મૂળ ભગવાન દેહધારી છે જ નહીં. દેહધારી હોય તે જ કરી શકે. એટલે હજુ કંઈ દોષ થયા, તે મારી પાસે માફી માંગી લેવી. તને તારા કેટલા દોષ રોજ દેખાય છે ? પ્રશ્નકર્તા : બસ્સો-ત્રણસો દેખાય. દાદાશ્રી : સાત વર્ષથી, બસ્સો-ત્રણસો દેખાય છે ને, બસ્સો-ત્રણસો નીકળ્યા કરે છે. પાછા બીજાં નવા દોષ દેખાય. અગર તો એ દોષની પાંખડી બહુ હોય ને નવા દોષોય હોય પણ આ બધા દોષો છે ને તે અનંત પડવાળા ! પ્રશ્નકર્તા : આમાં રોજ દોષ થયા જ કરે અને એનો પશ્ચાત્તાપ આ રીતે કરીએ એ લીંક તૂટે ક્યારે ? દાદાશ્રી : એ ખલાસ થાય જ, આ રીતે કરે તો બધા દોષ ખલાસ થાય જ. જે રસ્તે હું ગયો છું તે રસ્તો તમને દેખાડું છું. પ્રતિક્રમણ જોડે પ્રીતિ પત્નીની જેમસ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભુલાતી નથી તેમ પ્રતિક્રમણ ભુલાવું ના જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કરવી. માફી માગવાની ટેવ (પા.૪૨૮)જ પાડી નાખવી. આ તો પારકાના દોષ જોવાની દ્રષ્ટિ જ પડી છે. પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કેટલાંક તે કરવાનાં ? દાદાશ્રી : આ ખાવ છો, પીવો છો. આખો દહાડો હવા લો છો, તેમ આ આખો દહાડો પ્રતિક્રમણ કરવાનાં. પ્રતિક્રમણોની વણજારજેટલા દોષનું પ્રતિક્રમણ કર્યુ, એમ દોષ વધારે દેખાતા જાય. પછી તો કેટલાકને બસ્સો-બસ્સો દેખાય છે. એક ભાઈ કહે છે, શી રીતે દાદા પહોંચી વળું ? આ મારું મગજ થાકી જાય છે, પાંચસો-પાંચસો, હજાર પ્રતિક્રમણ કરું છું છતાં દહાડો નથી વળતો ! કારણ કે માલેય એવો જ ભરેલોને ! આમની પાસે બિચારા પાસે માલ જ ક્યાં છે, નાની નાની હાટડીઓ માંડેલી અને પેલાં મોટા ગોડાઉન ભરેલાં, બહુ ખાલી કરી નાખ્યું. પ્રશ્નકર્તા : આ મહાત્માઓને તો આમ કંઈ થયું કે તરત જ પ્રતિક્રમણના ભાવ આવે. દાદાશ્રી : તરત જ, એની મેળે જ આવે. સહજમય જ થઈ જાય. તમારે કેટલાં પ્રતિક્રમણ થાય છે ? નીરુબેન : રોજના પાંચસો થઈ જાય. દાદાશ્રી : ‘આ’ બેન રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે ! તે કોઈ પચાસ કરે, કોઈ સો કરે, જેટલી જેટલી જાગૃતિ વધી તે એટલાં પ્રતિક્રમણ કરે. પણ નિરંતર પ્રતિક્રમણ કરવાનો માર્ગ છે આ. આ પ્રતિક્રમણ એટલે ‘શૂટ ઑન સાઈટ’. ‘શૂટ ઑન સાઈટ’ એટલે દોષ થતાંની સાથે જ એનું નિવારણ કરી નાખવું, તરત જ ‘ઑન ધી મોમેન્ટ !’ જાગૃતિ એટલી બધી રહે કે ‘શૂટ ઑન સાઈટ’ કર્યા વગર રહે જ નહીં. એક પણ દોષ જોયાની બહાર ન જાય. અને તો માણસના દોષો ખાલી થઈ જાય. અને નિરંતર સંયમ રહે ! નિરંતર (પા.૪૨૯)સંયમ !!! બધાને કહેલું કે રસ-રોટલી ખાજો, ઘી લેજો, બધું લેજો, બધું ખાજો અને નિરંતર સંયમમાં રહે એવો વીતરાગનો માર્ગ છે. પ્રશ્નકર્તા : આપણે જે કહ્યું કે રોજ પાંચસો પ્રતિક્રમણ થાય છે. તો જેમ વધારે પ્રતિક્રમણ થાય તેમ સારું કે જેમ ઓછાં પ્રતિક્રમણ થાય તેમ સારું ? દાદાશ્રી : જેમ વધારે થાય તેમ સારું. નર્યા દોષના જ ભંડાર છે. કૃપાળુદેવે કહ્યું કે ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.’ પછી ‘દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય ?’ આ દોષ તો પાંચ દોષ દેખાતા નથી, તે શી રીતે તરાય ? આખું દોષનું ભાજન છે. એટલે પાંચસો-પાંચસો દોષો જેના નીકળે એનું જલદી સાફ થાય છે. કોઈને પચાસ-પચાસ નીકળતા હોય, કોઈને સો-સો નીકળતા હોય, પણ દોષો નીકળવા માંડ્યા છે. પ્રશ્નકર્તા : પણ જેમ ઊર્ધ્વીકરણ થાય એમ દોષ ઓછા થતા જાય ને પછી ? દાદાશ્રી : ના, ઊર્ધ્વીકરણની કોઈ જરૂર નથી. દોષ તો જેમ જાગૃતિ હોય કે તરત જ પકડાય. અને દોષ પકડાય એટલે તરત જ એને ત્યાં આગળ પ્રતિક્રમણ કરી નાખે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન, તરત જ ‘ઑન ધી મોમેન્ટ’ કરી નાખે ! ‘શૂટ ઑન સાઈટ !’ પ્રશ્નકર્તા : આ જેટલાં જેટલાં પ્રતિક્રમણ થાય પછી અમુક સ્ટેજે તો પ્રતિક્રમણ ઓછાં થઈ જાય ને ? વધતાં કેવી રીતે જાય પછી ? દાદાશ્રી : એ તો ઓછાં થતાં થતાં ઘણો ટાઈમ લાગે. કારણ કે અનંત અવતારનો બધો આ માલ ભરેલો છે. તે થઈને રહે ભગવાનઆ નીરુબેન રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે, કેટલાય વર્ષથી. તે આજે એમનો ઉકેલ આવવા માંડ્યો છે. બીજું કશું કરવાનું નથી, આ આજ્ઞા જ લેવાની છે ને ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ (પા.૪૩૦)કરવાનું છે. મહીં કો’ક આવ્યો અને આપણા મનમાં એમ થાય કે, ‘આ વળી આટલી ભીડમાં શું કરવા આવ્યા ?’ એ આપણે એના તરફ વિરાધના કરી, માટે એનો આત્મા મહીં જાણી ગયો બધુંય. એટલે આપણે તરત જ કહેવું કે, ‘ચંદુભાઈ, આવી કેમ ભાવના કરી ? અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.’ આ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનો માર્ગ છે, ‘શૂટ ઑન સાઈટ’. રોજ ત્રણસો-ત્રણસો ભૂલો, ચારસો-ચારસો ભૂલો રોજ દેખાશે. પોતાની એક ભૂલ જ જેને દેખાય તે ભગવાન થાય. અને દોષ ના હોત માણસમાં, તો ભગવાન જ હોત બધે ! દોષરહિત જે માણસ થયો એ ભગવાન કહેવાય ! તમારું કામ નીકળી ગયું ! હજુ જેમ જેમ શક્તિ વધશે ને એમ દોષો દેખાતા જશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય, પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાયા એટલા જાય. નિયમ એવો છે કે જે આપણી અંદર દોષો છે, જેટલા દેખાયા એટલા ગયા. જેમ આપણે ઊંઘી ગયા હોય ને ચોર પેઠો હોય, અને જાગીએ તો ? ચોર ભાગવાની તૈયારી કરે, જાગ્યા એટલે. એવું આ દોષો ભાગવાની તૈયારી કરે, જાગ્યા કે તરત ! ટૂંકામાં ટૂંકું ને પદ્ધતિસરનું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા સમજાવોને. ઘણા એવું કહે છે મેં બસ્સો પ્રતિક્રમણ કર્યા, તો એ કેવી રીતે કરે ? દાદાશ્રી : એવું છેને, જેમ જેમ વધારે ઊંડો ઉતરતો જાયને, તેમ પોતાના વધારે દોષ દેખાતા જાય. પ્રશ્નકર્તા : મને તો મારા જ દોષ દેખાય. દાદાશ્રી : એ તો અત્યારે જ્ઞાન આપ્યું છે એટલે, નહીં તો પહેલાં ક્યાં દેખાતું હતું ? અત્યારે દેખાય છેને ? હવે, એ દેખાય એની માફી માગવી પડે. એનાં પ્રતિક્રમણ કરે એટલે દોષ દેખાવા માંડે પછી. તે કોઈને રોજના પચ્ચીસ દોષ દેખાય, કોઈને પચાસ દેખાય, કોઈને સો (પા.૪૩૧)દેખાય. પાંચસો-પાંચસો સુધી દોષ દેખાય એવી બધી દ્રષ્ટિ ખીલી જાય, દર્શન ખૂલતું જાય. તમારી જોડે વાતચીત કંઇ થાય તો કડક બોલે. પણ જોડે એમને દોષેય દેખાય કે આ ખોટું થઈ ગયું. અને તને દોષ દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા : હા, મારા દોષો મને દેખાય છે. દાદાશ્રી : તો કલ્યાણ જ થઈ ગયું ને ! પ્રતિક્રમણ તો આપણા મહાત્માઓ કેવું કરે છે ? પટ, પટ, પટ થયું કે તરત જ ! ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરે છે. એટલે પછી દોષ જ ઊભો ના થાયને ! પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે આખી લાંબી વિધિ પ્રતિક્રમણની બોલવાની કે પછી આપણે ભાવથી ટૂંકામાં કરવાની ? દાદાશ્રી : ભાવથી ટૂંકામાં જ કરી નાખવાની. એ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ તો આપણે લખીએ એટલું જ છે. બાકી એને ટૂંકું કરીએ તોય ચાલી જાય. પ્રશ્નકર્તા : તો દાદા, ટૂંકું પ્રતિક્રમણ કેવું કરવાનું ? દાદાશ્રી : આ થયું એ બરાબર નથી, એવું આપણને લાગવું જોઈએ. પ્રશ્નકર્તા : હા, પણ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ આમ કરવાનું કેવી રીતે ? દાદાશ્રી : દાદા ભગવાનની સાક્ષીએ, આ દોષ થયો તેની હું ક્ષમા માગું છું. હવે ફરી નહીં કરું, બસ એટલું જ. એનું ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ. એના મન-વચન-કાયા ને ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ એવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ તો નવા માણસોને શીખવાડવા માટે છે. અત્યારે જ્યારે કોઈ માણસને બીજા જોડે વેર હોયને, ત્યારે આ (પા.૪૩૨)પદ્ધતિસર બોલવું પડે. વેર હોયને ત્યારે પહોંચાડવા માટે, તો વેર છૂટું થાય. એમ પદ્ધતિસરનું બોલ બોલ કરેને, આખું વિગતવાર લાંબું તો બધાનું વેર છૂટતું જાય. અને સાથે પેલાનેય ખબર પડે કે હવે મારું મન એમના તરફ સારું થતું જાય છે. પ્રતિક્રમણ તો એટલી બધી જબરજસ્ત શક્તિ છે. પ્રશ્નકર્તા : દોષો માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી વાણીના દોષ થયા હોય, રાગ-દ્વેષના, કષાયના દોષ થયા હોય, એ બધું બોલવાનું ? દાદાશ્રી : હા, તે બધું બોલવું જોઈએ. બીજા લોકોની જોડે હોય તો એમને એમ થાય. ક્ષમા માંગી લઈએ, પસ્તાવો કરી લઈએ તો ચાલી જાય. એ છે અમારી ઝીણામાં ઝીણી શોધખોળજેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણાં કર્યાં છે અને પ્રતિક્રમણ નથી કર્યાં તેનું આ બધું છે. આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો કોઈની જોડે કશો ઝઘડો રહે નહીં. ઊંડા પ્રતિક્રમણમાં પૂર્વભવ પણ દેખાયપ્રતિક્રમણમાં જે બહુ ઊંડા ઊતરે તેને પૂર્વભવ હઉ આરપાર દેખાઈ જાય ! કો’કને પૂર્વભવ હઉ દેખાઈ જાય. બધાને ના દેખાય. કો’કને સરળ પરિણામ હોય, તેને આરપાર દેખાઈ જાય. હવે પૂર્વભવ જોઈને આપણે શું કરવાનું છે ? આપણે તો મોક્ષ જોઈએ છેને ? ભેગું પ્રતિક્રમણપ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં જે જે દોષ થયા હોય, તેને યાદ કરીને આપણે ક્ષમા માગીએ છીએ. તો દોષો ઘણા (પા.૪૩૩)બધા હોય અને એમાં અત્યાર સુધી આપણે ભૂલી ગયા હોઈએ તો ફરી એની યાદ તાજી કરીને શા માટે દુઃખી થવું ? દાદાશ્રી : એ દુઃખી થવા માટે નથી. જેટલો ચોપડો ચોખ્ખો થયો એટલું ચોખ્ખું થયું. એ છેવટે ચોપડો તો તમારે ચોખ્ખો કરવો પડશે. નવરાશનો વખત કલાક એમાં કાઢો તો શું બગડી જાય ? પ્રશ્નકર્તા : દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે. દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું. પ્રશ્નકર્તા : આપણે જે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ એ જ સામૂહિક પ્રતિક્રમણને ? દાદાશ્રી : હા, એ જ સામૂહિક. વ્યક્તિગત પ્રતિક્રમણવ્યક્તિગત પ્રતિક્રમણ કોનું કરવું પડે ? કે જેની જોડે આપણને (કંઈ અતિક્રમણ) થતું હોય. આપણે પૂર્વભવનાં કર્મો હોય, બીજાં બધાં કર્યાં હોય તેનું, આપણા ઓળખીતા ના હોય, તમને મારાથી કંઈ વાગ્યું હોય, એવું પોતે જાણતો ના હોય, એ બધાનું સામૂહિક પ્રતિક્રમણ કરવાનું. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ વાગ્યો છે, તો પછી મારે એનું વ્યક્તિગત પ્રતિક્રમણ કરવું પડે. તે તરત જ કરી નાખવું જોઈએ. જોરદાર અવસ્થાઓ અવરોધે પ્રતિક્રમણપ્રશ્નકર્તા : દાદા, હું ઘણીવાર ભૂલ થાય તો આપને યાદ કરી, ‘હે દાદા ભગવાન, મારી ભૂલ છે તેની હું માફી માગું છું.’ પછી લાંબું પ્રતિક્રમણ કરતી નથી. દાદાશ્રી : માફી માંગે તો કશો વાંધો નહીં પણ ખાસ કરીને પ્રતિક્રમણ કરવું. ના થાય એવું હોય તો માફી માંગવી. (પા.૪૩૪)પ્રશ્નકર્તા : ઘણીવાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને તે પ્રતિક્રમણ ના થવા દે. દાદાશ્રી : તેની માફી માંગી લેવી. બોમ્બાર્ડિંગ, અતિક્રમણોનીપ્રશ્નકર્તા : એક કલાકની અંદર પાંચ-પચ્ચીસ અતિક્રમણ થઈ જાય. દાદાશ્રી : તો એનાં પ્રતિક્રમણ ભેગાં કરીને થાય. સામટાં થાય એટલે પ્રતિક્રમણ સામટાં કરું છું, એમ કહીએ. પ્રશ્નકર્તા : એ સામટાં પ્રતિક્રમણ કેવી રીતે કરવાં ? દાદાશ્રી : આ બધા બહુ અતિક્રમણ થયાં છે તેનું સામટાં પ્રતિક્રમણ કરું છું. જે વિષય પર અતિક્રમણ થયાં હોય તે વિષય બોલવો કે આ વિષય પર, આ વિષય પર સામટાં પ્રતિક્રમણ કરું છું એટલે ઉકેલ આવી ગયો. અને છતાં બાકી રહે એ ધોઈ આપીશું અમે. પણ એને લીધે બેસી ના રહેવું. બેસી રહીએ તો બધું આખુંય મહીં રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. એક ભાઈ મને કહે, ‘દાદા, એક દહાડામાં મને બે-બે હજાર પ્રતિક્રમણ કરવા પડે છે. તે મારે શું કરવું ? હું થાકી જાઉં છું.’ એટલે એને અમે ભેગાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું. બે-બે હજાર પ્રતિક્રમણ માણસ શી રીતે કરી શકે ? બે-બે હજાર વખત બોલવું ને કરવું, શી રીતે કરી શકે ? હવે જેટલા દોષ દેખાય તે જતા રહે પાછા ને પાછા બીજા આવે. જેટલા દોષ દેખાયા એ મુક્ત થઈને ગયા. ત્યારે કોઈ કહે કે ‘એવો ને એવો દોષ ફરી દેખાયો છે.’ ત્યારે કહીએ કે એના એ જ દોષ ફરી ના આવે. પણ આ ડુંગળીનાં પડ હોય છેને, એક કાઢીએ એટલે પાછું બીજું આવીને ઊભું રહે, તેમ આ દોષ ડુંગળીના પડવાળા હોય છે. એકની એક વસ્તુનું આપણે એક પડ કાઢીએ ત્યારે બીજું પડ ઊભું રહે એટલે એનું એ જ પડ ના હોય, એ તો ગયું જ. આ ત્રીસ પડ હતાં તેનાં ઓગણત્રીસ (પા.૪૩૫)રહ્યાં. પછી ઓગણત્રીસમાંથી એક પડ જશે એટલે અઠ્ઠાવીસ રહેશે. અનંત દોષનું ભાજન છે. તે ત્રણ-ત્રણ હજાર દોષ મહીં રોજ દેખાશે. તે ભઈ તો થાકી ગયો એટલે અમે તેનું લેવલ ઉતારી નાખ્યું. એટલું બધું માણસથી ના થાય. જાગૃતિ બહુ વધી ગઈ એટલે દોષો ખૂબ દેખાય. હવે એ માણસ મોટો ધંધાદારી એટલે એને મુશ્કેલી થાય ને ! એટલે એની જાગૃતિ પાછી અમે મંદ કરી નાખી ને એને ‘જાથું પ્રતિક્રમણ’ કરવાનું કહ્યું. જાથું એટલે બધાનું સામટું. જેટલા દોષ થયા હોય તેનું. બાકી આપણું પ્રતિક્રમણ કેવું હોવું જોઈએ ? શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. આ તો બધું કેશ જ હોવું જોઈએ. દોષ થયો કે તેની સાથે જ પ્રતિક્રમણ, તે કેટલાક માણસો તો એટલે સુધી કહે છે કે દાદા, સહન થતું નથી. આ પ્રતિક્રમણ કરી શકાતું જ નથી મારાથી. એટલાં બધાં પ્રતિક્રમણ કરવાનાં, તે એક પછી એક, પૂરાં થતાં જ નથી. એટલા બધા દોષ દેખાય છે. એટલે પછી એમને જાથું પ્રતિક્રમણ કરવાનું કહીએ. બહુ દોષ થાય તેને શું થાય તે ? નર્યા દોષનો જ ભંડાર છે. અને મનમાં શુંય માની બેઠો છે કે હું કંઈક છું, હું કંઈક છું. શેમાં છું તે તું ? જરા અપમાન કરે ત્યારે ખબર પડે કે શું છે તે ? ઉપાય, રહી ગયેલા દોષોનોપ્રશ્નકર્તા : ભૂલચૂકથી પ્રતિક્રમણ કરવાના રહી જાય તો સામૂહિક પ્રતિક્રમણથી નીકળી જાય ? દાદાશ્રી : હા, એનાથી તો બધા બહુ નીકળી જાય. એ તો એક મોટામાં મોટો રસ્તો છે કે બહુ દહાડાની સિલક ભેગી થઈ હોય, તે હડહડાટ ઉડાડી મેલે ! ઊલટાનો એ રસ્તો સારો ! સામાયિકમાં દોષો ચકનાચૂરપ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પહેલાંના જે બધા દોષો થયા હોય એ બધા દોષોનું શૂટ ઑન સાઈટ કેવી રીતે થઈ શકે ? (પા.૪૩૬)દાદાશ્રી : એ દોષો જરા જાડા હોયને, એટલે એની પ્રકૃતિમાં આવ્યા કરે. એટલે આપણને ખબર પડે, કે આ પહેલેથી છે. એટલે એ દોષનાં વધારે પ્રતિક્રમણ કરવાં. પ્રશ્નકર્તા : એ સામાયિકથી વધારે ઓળખાયને ? દાદાશ્રી : હા, સામાયિકથી તો બધા બહુ ઓળખાય. પણ મહીં તો આપણને આ દોષ આવેને, તે પહેલેથી આ પ્રકૃતિનો ગુણ છે, એટલે પહેલાં આ દોષ હતા, એટલે એનું પ્રતિક્રમણ વધારે કરવું. અને કેટલાક દોષો છે નહીં એનું કશું નહીં કરવાનું. છૂટાય કર્મો થકી જ્ઞાને કરીનેપ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કર્મો બંધાય ખરાં કે ? દાદાશ્રી : વાંકું બોલે તો બંધાય નહીં પણ છૂટેય નહીં. કર્મ છૂટે ક્યારે ? કે એ જ્ઞાનપૂર્વક હોય, એટલે સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વકથી એનો નિવેડો થાય. અજ્ઞાને કરીને બાંધેલા તે જ્ઞાને કરીને એનો નિવેડો કરી લાવીએ ત્યારે છૂટીએ. અત્યારે ના ગમે તોય એનો જ્ઞાને કરીને નિવેડો લાવવો પડે. ‘હું શુદ્ધાત્મા છું’ થઈને એ બધું જોયા કરીએ, એ રીતે બધો નિવેડો લાવવો પડે. પ્રતિક્રમણ તો (દોષમુક્ત થવા માટે) મોટામાં મોટું હથિયાર છે. ચરણવિધિમાં પ્રતિક્રમણ કે શક્તિઓની માંગણી ?પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરી નાખીએ ? તો વધારે જલદી ઉકેલ ના આવે ? દાદાશ્રી : ક્યારે ? પ્રશ્નકર્તા : તમારી ચરણવિધિ કરીએ ત્યારે ? દાદાશ્રી : ના. તે ઘડીએ તો શક્તિ ભરવાની. પ્રતિક્રમણ તો પછી એની મેળે કર્યા કરવાનું. (પા.૪૩૭)પૈણતી વેળાનાંય પ્રતિક્રમણપ્રશ્નકર્તા : કેટલું કેટલું ધો ધો કરીએ છીએ પણ હજુ કેટલાં ચીકણાં કર્મો છે ? દાદાશ્રી : સંસાર એટલે અતિક્રમણ અને પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. નિયમિત ખાઓ છો, પીઓ છો, હવા આખો દહાડો લો છો ને ? એવું એ પ્રતિક્રમણેય આખો દહાડો રહે. ફૂમતું ઘાલી પૈણ્યા’તા, તે ઘડીએ શરમ નહોતી આવતી ? આમ ફૂમતું ઘાલીને પૈણેલાને બધા ? હવે તે ઘડીએ વિચાર નહોતો કર્યો કે આ બધાં પ્રતિક્રમણ કરવાં પડશે. હવે ભેગાં પ્રતિક્રમણ કરવાં પડે છે તે વસમાં લાગે છે ! દોષ છે તો જોનારોય છેપ્રશ્નકર્તા : દાદા, દોષ દેખાતા બંધ થઈ જાય એવું કરો. દાદાશ્રી : ના, એ દોષો તો દેખાય, બળ્યા ! દોષો દેખાય છે તેથી તો આત્મા છે ને પેલું જ્ઞેય છે. પ્રશ્નકર્તા : પણ દેખાય નહીં એવું ન થાય ? દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે. પણ હવે એ દોષો નથી, એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો. અતિક્રમણોથી કંટાળો હવેપ્રશ્નકર્તા : આજે બધી ફાઈલો છે ને, એટલે આખો દિવસ એટલા બધા દોષો દેખાય છે કે હવે મને મારાથી ખૂબ કંટાળો આવે છે. દાદાશ્રી : એ તો આવે જ. પ્રશ્નકર્તા : આખો દિવસ દોષ એટલા બધા દેખાય છે ક્ષણે ક્ષણે. (પા.૪૩૮)દાદાશ્રી : દોષ દેખાય છે, એટલે એ દોષ જતા રહેવાના. દોષ તો દેખાય જ ને ! દોષ દેખાય તો આત્મા થયો. શુદ્ધ થાય તો જ દોષ દેખાય ને ! પ્રશ્નકર્તા : પણ આખો દિવસ ? હરેક ક્ષણે ? દાદાશ્રી : હા, તે દોષ દેખાય તો સારું ઊલટું. તપ એટલા માટે કરવાનાં કહ્યાં છે કે પોતાના દોષ દેખાય, એ જાગૃતિ આવે. એ જાગૃતિ જ દોષ દેખાડે. પસ્તાવો કરે ચંદુપ્રશ્નકર્તા : કોઈ ભૂલ કરીએ, એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાંય એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ કેમ ના થઈ જવાય ? મનનો ભાવ આનંદિત કે નોર્મલ કેમ ના થાય ? એ તો એકાદ દિવસ સુધી કેમ વળગેલો રહે ? દાદાશ્રી : તેમાં શો વાંધો છે ? જો પસ્તાવો વધારે તો ફરી ભૂલ થાય નહીં. જાગૃતિ રહે એટલે નુકસાનકારક નહીં. છોને વળગતું હશે, ફરી ભૂલ ના થાય. પ્રશ્નકર્તા : પસ્તાવો થાય એટલે પછી આપણે બીજા ધ્યાનમાંથી છૂટીને એમાં રહ્યા કરીએને ? દાદાશ્રી : જેમ જેમ પસ્તાવો થાય તેમ તેમ સારું. તમારે પસ્તાવાની જરૂર નહીં. તમારે તો આ ચંદુલાલ પસ્તાય. આપણે કર્યું નથી. અધવચ્ચે ફિલ્મ બંધ કરાય ?પ્રશ્નકર્તા : હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થાય તો સારું. દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? તો આ બંગડીઓ કોણ પહેરશે ? પ્રશ્નકર્તા : નથી પહેરવી હવે. (પા.૪૩૯)દાદાશ્રી : નહીં, પહેરો, હરો-ફરો, બધું કરો. જલદી પૂરો કરવાનું ના કહેવાય. બધું બહુ કામ છે હજુ આપણે તો. આ દેહને સાચવવાનો. આવું ક્યાં બોલ્યાં ? પ્રશ્નકર્તા : તમે વીસ દિવસ હતા, તોય એકે જગ્યાએ અવાયું નહીં. દાદાશ્રી : તેથી કરીને દેહ પૂરો કરી નાખવાનો હોય ? પ્રશ્નકર્તા : પણ એ કાચું કેટલું પડે છે ? દાદાશ્રી : આ દેહનો તો ઉપકાર એટલો બધો કે ગમે તે દવા કરવી પડે તે કરવી. આ દેહે તો ‘દાદા ભગવાન’ આપણને ઓળખાયા. અનંત દેહ ખોયા બધા, નકામા ગયા. આ દેહે (જ્ઞાની) ઓળખ્યા માટે આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. અને આ સેકન્ડ (બીજો) મિત્ર તે હવે દેહને સાચવ સાચવ કરવાનો. એટલે આજે પ્રતિક્રમણ કરજો. ‘દેહ વહેલો જતો રહે તો સારું એમ કહ્યું તેની માફી માગું છું.’ પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : આપણે સિનેમામાં બેઠા હોય અને (અધવચ્ચે) ફિલ્મ બંધ થઈ ગઈ તો શું કરવાનું ? (પા.૪૪૦)[25] પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણપરભાવમાં તન્મયાકારપ્રશ્નકર્તા : વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય, તો તુરત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજસ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય કે તેમાં તન્મયાકાર થઈ જવાય તો શું કરવું ? પરભાવમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ કર્યું કહેવાય ?*_ દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું. પછી શું લખે છે કે નિજસ્વભાવમાંથી પરભાવમાં જવાનું. હવે પરભાવમાં તો કોઈ અમારી આજ્ઞા પાળે તે માણસ પરભાવમાં જઈ શકે નહીં. અને જવું હોય તોય નહીં જવાય. માટે આજ્ઞા પાળવાની શરૂ કરી દો, એટલે પરભાવમાં જવાય જ નહીં. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં. એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તો એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી, જો આજ્ઞા પાળે તો આ નથી અને આ છે નહીં તો આજ્ઞા પાળી શકાય નહીં. એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો. પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ એટલે જાગૃતિપૂર્વક પૂરેપૂરો નિકાલ ના થાય. હવે તન્મયાકાર થઈ ગયા પછી ખ્યાલ આવે તો પછી એનું પ્રતિક્રમણ કરીને નિકાલ કરી નાખવાનો રસ્તો ખરો ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો હલકા થઈ જાય. ફરીવાર હલકા થઈને આવે. અને પ્રતિક્રમણ ના કરે તો એનો એ બોજો પાછો આવે. (પા.૪૪૧)ફરી છટકી જાય પાછું, ચાર્જ થયા વગરનું એટલે પ્રતિક્રમણથી હલકા કરી કરી પછી નિકાલ થયા કરશે. પ્રશ્નકર્તા : તમે કહો છો કે અતિક્રમણ ન્યૂટ્રલ છે, તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું ? દાદાશ્રી : અતિક્રમણ ન્યૂટ્રલ જ છે, પણ તેમાં તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ અતિક્રમણમાં તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ કશું જ કરી શકે નહીં. અને પ્રતિક્રમણ તો આપણે તન્મયાકાર ના થઈએ તોય પણ કરે. ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયા, તેનેય તમે જાણો ને નથી થયા તેનેય તમે જાણો. તમે તન્મયાકાર થતા જ નથી. તન્મયાકાર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર થાય છે, તેને તમે જાણો છો. તન્મયાકાર ચંદુભાઈ થાય છે, તમે તો જાણનાર એ. પ્રશ્નકર્તા : તન્મયાકાર ચંદુભાઈ થયા તો ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ને ? દાદાશ્રી : હા, ચંદુભાઈને કહેવાનું. સ્વપ્નામાં પણ પ્રતિક્રમણપ્રશ્નકર્તા : સ્વપ્નામાં પ્રતિક્રમણ થઈ શકે ? દાદાશ્રી : હા, બહુ સારાં થઈ શકે. સ્વપ્નામાં પ્રતિક્રમણ થાય, એ અત્યારે થાય છે ને તેના કરતાં સારાં થાય. અત્યારે તો આપણે હુડ હુડ કરી નાખીએ. સ્વપ્નામાં જે કામ થાયને એ બધું આખું પદ્ધતિસર હોય. સ્વપ્નામાં ‘દાદા’ દેખાય તે એવા ‘દાદા’ તો આપણે જોયા જ ના હોય એવા દાદા દેખાય. જાગૃતિમાં એવા દાદા ના દેખાય, સ્વપ્નામાં બહુ સારા દેખાય. કારણ કે સ્વપ્નું એ સહજ અવસ્થા છે અને આ જાગૃત એ અસહજ અવસ્થા છે. પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પાપ કર્યું હોયને, તો જાગૃત અવસ્થામાં (પા.૪૪૨)એનું પ્રતિક્રમણ કરી શકાય ? દાદાશ્રી : કરાય ને. આપણને ગમે ત્યારે લક્ષમાં આવે ત્યારે પ્રતિક્રમણ કરી શકાય. કારણ કે આપણે જ હતા. પ્રશ્નકર્તા : એનાથી પછી ચોખ્ખું થઈ જાય ખરું ? દાદાશ્રી : હા, ગુનેગાર ગમે ત્યારે કબુલાત કરેને તો, અહીં કોર્ટના કાયદા જુદા છે અને અહીં આગળ ગમે ત્યારે કબૂલાત કરાય. પ્રશ્નકર્તા : સ્વપ્નામાં જે કર્મ થાય, એનાં પ્રતિક્રમણ ક્યારે કરવાનાં ? જાગ્યા પછી કરવાનાં ? દાદાશ્રી : હા. જાગ્યા પછી ખબર પડે, યાદ રહે તો કરવાનાં. સ્વપ્નમાં કોઈને ઢેખાળો મારી આવ્યા, એટલે આપણો હિંસક ભાવ તો હતો જ, એ વાત નક્કી છે ને ? સામાને વાગ્યું, ના વાગ્યું એ જુદી વાત છે. એટલે પ્રતિક્રમણ તો કરવું. સ્વપ્નામાંય રીસ ચઢે. કાકો દીઠો ને રીસ ચઢે ! પ્રશ્નકર્તા : ઘણીવાર સ્વપ્નામાં કંઈ ભૂલ થાય તો એનું સ્વપ્નામાં જ પ્રતિક્રમણ થઈ જાય છે. દાદાશ્રી : હા, થઈ જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, ઘણીવાર સ્વપ્નામાં પ્રતિક્રમણ નથી થતું, પણ જ્યારે સવારે હું જાગું છું, ત્યારે મને ખ્યાલ આવે કે મેં પ્રતિક્રમણ ના કર્યું તો તેનું પ્રતિક્રમણ સવારે કરી નાખવાનું ? દાદાશ્રી : હા, કરી નાખવાનું. પ્રતિક્રમણ ‘એની ટાઈમ’ (કોઈપણ સમયે) કરી શકે. અને તે પ્રતિક્રમણ તો તારા ધણી જોડે ભાંજગડ થઈ હોય તો આપણે એના શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું, એવું કંઈ બોલો તોય ચાલે. તું એની જોડે ગુસ્સે થઈ ગઈ, તો એ શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું. આ તો ટેકનિકલી શબ્દ છે પણ સાદું બોલે તોય ચાલે. જે તે રસ્તે કપડું ધોવાનું છે. (પા.૪૪૩)સ્વપ્ન હંમેશાં ગલનપ્રશ્નકર્તા : વિષયની બાબતમાં સ્વપ્નાં આવે તો અસર રહે છે. દાદાશ્રી : તે તો એમાં પ્રતિક્રમણ થાય ને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો થાય. દાદાશ્રી : તે તો ઊલટું સારું. પ્રતિક્રમણ થાય એટલે ફાયદાકારક. એનો વાંધો નહીં. અને પ્રતિક્રમણ તો કરવાં જ જોઈએ. પેલું ‘લેટ ગો’ થાય તો એમાં એમનું કાચું રહી ગયું. અને આ તો પ્રતિક્રમણ કરીને એનું મૂળિયું કાઢી નાખે, એ તો સારું. અને ત્યાં તો પાછળથી કહી દોને, કે આ ખોટું થયું. ‘ખોટું થયું’ એવું હોય તેના માટે સારું. સ્વપ્નું એટલે શું ? ગલન ! પૂરણ નહીં. બિલકુલેય પૂરણ નહીં, એનું નામ સ્વપ્નું. અને જાગૃત સ્થિતિમાં અહંકાર હોવાથી ગલન અને પૂરણ બન્ને થાય. બાકી સ્વપ્નું એ ગલન એકલું જ છે. ‘ડિસ્ચાર્જ’ એટલે ગલન. અને ‘ડિસ્ચાર્જ’ની ચિંતા કોઈએ કરવી નહીં. હા, ‘ડિસ્ચાર્જ’ ન થાય એની કાળજી રાખવી, પણ ‘ડિસ્ચાર્જ’ થઈ જાય એની ચિંતા કરવી નહીં. બની ગયું એની ચિંતા છોડી દો. ભવિષ્યમાં ન બને એની કાળજી રાખવી. અનુપચારિક વ્યવહારમાં કર્મબંધ ક્યાં ?પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે, એ વાત બરાબર છે પણ એમાં ક્યાંક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ ‘ચાર્જિંગ’નું ભયસ્થાન ક્યાં ? દાદાશ્રી : ‘ચાર્જ’ થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ ‘ચાર્જ’ થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન ‘ચાર્જિંગવાળું’ માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી એ પછી ભૂલી જઈએ, એ શંકાની કિંમત જ નથી. (પા.૪૪૪)પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ? દાદાશ્રી : ના, બેફામ રહે તો માર પડશે. બેફામ થાયને, નિષ્ફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ? પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક ‘એક્શન’ કયું લેવું જોઈએ ? દાદાશ્રી : બીજું શું ‘એક્શન’માં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ ‘એક્શન’ છે. મહાત્માઓને કર્મ ચાર્જ ક્યાં થાય ?પ્રશ્નકર્તા : ખાસ મુદ્દો જ આ સમજવો હતો કે મહાત્માઓને ‘ચાર્જ’ થાય કે નહીં ? દાદાશ્રી : તમને ‘ચાર્જ’ ના થાય, પણ પ્રતિક્રમણ કરવું સારું. પ્રતિક્રમણ કરવાથી અમારી આજ્ઞા પાળી કહેવાય. અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. ‘આપણે’ તો અતિક્રમણ કરતા નથી. આપણને પસંદેય નથી. ઇચ્છા જ નહીં ને ? પ્રશ્નકર્તા : ના, બિલકુલ ઇચ્છા જ ના હોય. મહાત્માઓના દરેક કર્મ ‘ડિસ્ચાર્જ’ હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર ? દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ’ છે એટલે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, પણ અતિક્રમણ થયું હોય તો જ પ્રતિક્રમણ કરીએ. ખાય-પીએ એનું કંઈ પ્રતિક્રમણ કરવાનું નહીં. હું તમને એમ કંઈ પૂછ પૂછ કરું છું કે ‘તમે કેરીઓ ખાધી કે ના ખાધી ? તેં ભજિયાં કેમ ખાધાં હતા ? તું હોટેલમાં કેમ ગયો હતો ?’ એવું હું પૂછું છું કંઈ ? આમ તેમ કંઈ પૂછ્યું મેં ? ના. કારણ કે એ હું જાણું છું કે એ બધું ‘ડિસ્ચાર્જ’ છે ! (પા.૪૪૫)‘ડિસ્ચાર્જ’ ભાવે કોઈને બ્લેઈમ (આક્ષેપ) અપાઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી લેવું ! પ્રશ્નકર્તા : જેને બ્લેઈમ મળ્યો તેણે પણ પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : હા, તેણે પણ કરવું કે મારા કયા દોષના ભોગે આ આવ્યું ! પણ બ્લેઈમ આપનાર વધારે ગુનેગાર છે. પ્રશ્નકર્તા : ‘ડિસ્ચાર્જ’માં તન્મયાકાર થાય તો પાછા બીજા ભાવો પડેને ? દાદાશ્રી : હા, બધું જોખમ ખરુંને ! પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય. પ્રતિક્રમણ કરે એય પરભાવ. એનાથી પુણ્યૈ બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઈ ગયો એટલું ઓછું થયું. જ્ઞાન પછી ‘જોયા’ કરવુંપ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું હોય અને કોઈને ગાળ ભાંડી, પછી આપણને થાય કે આને બે આપવી છે. હવે પછી આપીએ ખરી. પાછા ‘આપણે’ જોઈએ કે આ ચંદુભાઈને આ આપવાનું મન થયું, પાછી આપી અને તેય પાછા ચંદુભાઈને આપણે જોઈએ. તો એ શું કહેવાય ? એ ‘ચાર્જ’ કહેવાય ? દાદાશ્રી : આ બધું બની ગયું એને તું જોયા કરું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બસ તો છૂટ્યું. તારે લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : કોઈએ આપણને ગાળ આપી ત્યારે આપણને એમ થાય કે આપવી ના જોઈએ. પણ ચંદુભાઈ એમ કહેતા હોય કે ના, આપવી જ જોઈએ. અને પછી ચંદુભાઈ જઈને આપી આવે. તોય મહીં એમ થતું હોય કે આ ખોટું કર્યું છે, અને આપણે એમ જોતા હોઈએ પણ ચંદુભાઈને રોકી ના શકીએ. (પા.૪૪૬)દાદાશ્રી : તેનો વાંધો નહીં. તારે જવાબદારી નહીં. ચંદુભાઈને જવાબદારી ખરી. તે પેલો માણસ ચંદુભાઈને ટૈડકાવે કે કેવા નાલાયક છો ને શું બોલ બોલ કરો છો ? અગર તો ધોલ મારી દે. જે જોખમદાર છે એને માર ખાવો પડે. પ્રશ્નકર્તા : એટલે એ ‘ચાર્જ’ કર્યું કહેવાય ? દાદાશ્રી : ના, પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. ‘આપણે’ પ્રતિક્રમણ નહીં કરવાનું, એ ચંદુભાઈ કરે. આપણે કહીએ કે ‘અતિક્રમણ’ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈએ પ્રતિક્રમણ ના કર્યું તો ? દાદાશ્રી : તો એ ચાલી શકે. પ્રશ્નકર્તા : તો એ ‘ચાર્જ’ થયું ને ? દાદાશ્રી : ના, ‘ચાર્જ’ તો થાય નહીં. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવું જોઈએ. દાદાશ્રી : કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલાં કપડાં ધોઈએને, એટલાં ચોખ્ખાં કરીને મૂકી દેવાં. પછી ઈસ્ત્રીમાં જાય એની મેળે. ચાર્જ ક્યારે થાય ?પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી કર્મ ‘ચાર્જ’ થાય છે કે નહીં ? દાદાશ્રી : ‘ચાર્જ’ થાય જ કેમ કરીને ? ‘ચાર્જ’ ક્યારે થાય ? ‘વ્યવસ્થિત’ કર્તા છે, તેનો તને વિશ્વાસ બેઠો છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને ચંદુભાઈ કર્તા નથી એ તને વિશ્વાસ બેઠો છે ? પ્રશ્નકર્તા : હા. (પા.૪૪૭)દાદાશ્રી : ચંદુભાઈ કર્તા હોય તો ‘ચાર્જ’ થાય. એટલે એ વાક્ય ઊડી ગયું ? તને સમજ પડીને ? એ વાક્યનો ખુલાસો થયોને ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્જ ના કરીએ ? દાદાશ્રી : આત્મા પોતે કર્તા થાય તો જ કર્મ બંધાય. જ્ઞાન પછી ક્રેડીટ-ડેબીટ નીલપ્રશ્નકર્તા : ખરાબ ‘ચાર્જિંગ’ થાય, તેમ સારુંય ‘ચાર્જિંગ’ થાયને ? દાદાશ્રી : ના થાય. ખરાબેય ચાર્જ થતું નથી. આ ‘ડિસ્ચાર્જ’માં અતિક્રમણ થયેલાં તેનું આપણે પ્રતિક્રમણ કરીએ. અતિક્રમણ થયેલાં એ સામાને નુકસાન કરે એવાં હોય છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું તે ‘ડિસ્ચાર્જ’માં રાગ-દ્વેષ આવે છે એનું કરવાનું છે ? દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ’નું પ્રતિક્રમણ કરવાનું. ‘ચાર્જ’ તો થતું જ નથી, ત્યાં પછી રહ્યું જ શું ? એટલે ‘ક્રેડીટ’-‘ડેબીટ’ આપણને હવે થતું જ નથી. ‘ક્રેડીટ’ થાય તો દેવગતિ થાય, ‘ડેબીટ’ થાય તો જાનવરમાં જાય એવું તેવું નથી થતું. પણ આ જે ‘ક્રેડીટ’-‘ડેબીટ’, ‘ડિસ્ચાર્જ’ છે, તેની વાત કરીએ છીએ આપણે. એ અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. સમજો ‘કરવાનું નથી’ એનેપ્રશ્નકર્તા : અમુક વ્યક્તિઓ એવું કહે છે કે શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા કશું કરતો જ નથી. માટે આપણને કશું નડતું જ નથી. કશું કરવાની જરૂર છે જ નહીં. પ્રતિક્રમણ કરવાની જરૂર છે જ નહીં. દાદાશ્રી : એવું ખોટું બધું. પ્રશ્નકર્તા : એટલે હવે એ એક વ્યૂ પોઈન્ટ (દ્રષ્ટિબિંદુ) થયો. (પા.૪૪૮)બીજા શું કહે છે કે ભઈ, આપણે અમુક જે કર્મનો ઉદય આવ્યો, એ વખતે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. દાદાશ્રી : ‘કશું કરવાની જરૂર છે નહીં’ એમ કહે છે તો એને કહીએ, ‘તમે કેમ જમો છો ? કશું કરવાનું નહીં, કહો છો તો ?’ જમવાનું બંધ કરતા હોય તો કશું કરવાનું રહેતું નથી. પણ જમવાનું બંધ કરે છે કે નહીં ? પ્રશ્નકર્તા : ના, એ તો ચાલુ છે. દાદાશ્રી : કશું કરવાનું નથી એનો અર્થ તો એવો કે કશો કર્તાભાવ ના કરે. કરવાથી તો ભમરડા થઈ જાય. પ્રતિક્રમણેય ડિસ્ચાર્જપ્રશ્નકર્તા : આપણને કંઈ અસર જ ના થતી હોય, રાગ-દ્વેષ થતા ના હોય, તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી ? દાદાશ્રી : તને રાગ-દ્વેષ થતા નથી, તારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ આ ચંદુભાઈને થતા હોય તો ચંદુભાઈને કરવાની જરૂર ખરી ને ! પ્રશ્નકર્તા : ઘણી બધી વાર ‘હું ચંદુભાઈ છું ’ એવી જ રીતની વર્તના થયા કરે. ઘણા લાંબા સમય પછી ખ્યાલમાં આવે. ઘણીવાર ખ્યાલમાંય ના આવે તો શું એનું પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : જેટલું ખ્યાલમાં રહે એટલાં પ્રતિક્રમણ કરવાં પડે. પ્રશ્નકર્તા : શું કામ કરવાં પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો તું ક્યાં કરે છે ? એ તો ચંદુભાઈને કરવાનાં છે. પ્રશ્નકર્તા : ચંદુભાઈને શું કામ કરવાં પડે ? દાદાશ્રી : કેમ ? (પા.૪૪૯)પ્રશ્નકર્તા : બધું ‘ડિસ્ચાર્જ’ ફોર્મમાં છે તો પછી ? દાદાશ્રી : ના, કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવાં પડે. તારી ક્રિયાથી કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવાં પડે. દુઃખ ના થતું હોય તો કશું નહીં. પ્રશ્નકર્તા : પણ આ ચંદુભાઈ છે એ તો ‘ડિસ્ચાર્જ’ જ છેને, તો પછી પ્રતિક્રમણની શી જરૂર ? એ હજુ મને સમજાતું નથી. દાદાશ્રી : પ્રતિક્રમણેય ‘ડિસ્ચાર્જ’ છે. જોડે ‘શી જરૂર’ કહે છે, તેય ‘ડિસ્ચાર્જ’ છે. પ્રશ્નકર્તા : તો પછી એમ મનમાં થાય કે આટલાં બધાં પ્રતિક્રમણ કોણ કરે ? તો એય ‘ડિસ્ચાર્જ’ ? દાદાશ્રી : એય ‘ડિસ્ચાર્જ’. વાંધો નહીં ઉઠાવતા. આપણે બોલીએ અને સામાને દુઃખ થાય એવું થઈ ગયું હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું. અને કહેવું કે ‘પ્રતિક્રમણ કર. આમ દુઃખ થાય એવું ના કરીશ.’ પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને કહે, ‘મારે પ્રતિક્રમણ નથી કરવું’ તો ? દાદાશ્રી : તો વાંધો નહીં. એ ઘડીવાર પછી સારો થાય, પછી પ્રતિક્રમણ કરાવવાનું. સાંજનું મોટું પ્રતિક્રમણ કરાવવાનું. આડા થાય એટલે કહીએ, ‘સૂઈ જા.’ ‘સોરી’ એ પ્રતિક્રમણ કહેવાય ?પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં અજાણતાં પણ ભૂલ થઈ ગઈ હોય તો તરત ‘સોરી’ કહી દે છે, તો એ ‘સોરી’ પ્રતિક્રમણ જેવું કહેવાય ? દાદાશ્રી : એ ‘સોરી’ એ પ્રતિક્રમણ નથી. પણ એ વસ્તુ ‘સારી છે’. એ પ્રતિક્રમણ નથી પણ ‘સોરી’ કહેવાથી સારું છે કે પેલાને મનમાં એટેકીંગ (આક્રમક) ભાવ ના આવે. એટેકીંગ ભાવ આવતો હોય તે (પા.૪૫૦)બંધ થઈ જાય. એટલે લોકોના શીખવાડવાથી ‘સોરી’ શીખી ગયો હોય તોય ઘણું સારું. પણ પ્રતિક્રમણ જેવું તો એકુંય નહીં. પ્રશ્નકર્તા : આપણે અકર્તા છીએ તો પછી આ અતિક્રમણ કરે કે પ્રતિક્રમણ કરે જે કરે તે, આપણે શું ? આપણે તો જોયા કરવાનું ને ? દાદાશ્રી : ‘આપણે’ જોયા કરો. અતિક્રમણ કોણ કરે છે એને પ્રતિક્રમણ કરવાનું કહેવાનું કે ‘ભઈ, અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ ના કર્યું હોત તો અમે તને કહેવાના ન હતા.’ પ્રશ્નકર્તા : શું આપણે પ્રતિક્રમણ એટલા માટે કરીએ છીએ કે, આપણો આવતો ભવ ‘ઈઝી’ (સરળ) જાય, સારો જાય ? દાદાશ્રી : ચોખ્ખું કરવા માટે. ડાઘ પડેલો હોય, તેને તરત ચોખ્ખું કરી નાખીએ છીએ. નહીં તો ફરી પાછું ધોવા આવવું પડશે. એક ડાઘ પડે એટલે ધોઈ નાખો એને. અતિક્રમણ થયું એટલે ડાઘ પડ્યો. ગમે તે કલરનો ડાઘ પડી ગયો, તેને ધોઈ નાખીને પછી આપણે બેસવું. તે ઘડીએ ચંદુભાઈ આડા થયા હોય તો સાંજે ધોઈ નાખવાનું આખુંય. પાંચ-સાત-દસ અતિક્રમણ થયાં હોય તો ભેગાં પ્રતિક્રમણ કરી, સ્વચ્છ કરી નાખવાનું. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યું એ ચોથી આજ્ઞા, સમભાવે નિકાલનો ભાગ છે ? દાદાશ્રી : સમભાવે નિકાલ ને એને લેવાદેવા નહીં ને ! ફાઈલનો નિકાલ, એ તો જુદી વસ્તુ છે. અક્રમ માર્ગમાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : એક જણને પ્રતિક્રમણ ઉપર તો એટલી બધી ચીઢ કે તે અમને એમ કહે કે તમે પ્રતિક્રમણ કરો તો તમે આત્મા નથી. પ્રતિક્રમણ કર્યું એટલે આત્મા ખોઈ નાખ્યો. (પા.૪૫૧)દાદાશ્રી : આ ક્રમિક માર્ગ એવો છે કે આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રતિક્રમણ ના હોય. એ પ્રતિક્રમણ કરે તો આત્મા ખોઈ નાખે. પ્રશ્નકર્તા : પણ દાદા, અમે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે આપની આજ્ઞા પ્રમાણે ‘છૂટા રહીને કરીએ છીએ’ ? દાદાશ્રી : હા, ‘ચંદુભાઈ’ કરે છે. જેણે ભૂલ કરી છે, જેણે અતિક્રમણ કર્યું છે, તે પ્રતિક્રમણ કરે છે. ક્રમિક માર્ગમાં આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ ‘પોઈઝન’ ગણાય છે. આપણે અહીંય પ્રતિક્રમણ હોતું નથી. આપણે પ્રતિક્રમણ ‘ચંદુભાઈ’ પાસે કરાવીએ છીએ. કારણ કે આ તો અક્રમ, અહીં તો બધો જ માલ ભરેલો. શું નો શું માલ ભરેલો, એ પહોંચી જ કેવી રીતે શકે ? અને લોકોને મહીં શંકા રહે કે આ કઈ જાતનું ? આ બધા મેડ (ગાંડા) માણસો, મોક્ષનો સત્સંગ શી રીતે કરે તે ? એટલે જગતે આખું વીંટી કાઢેલું કે મેડને અધિકાર જ નથી, મોક્ષનો સત્સંગ કરવાનો ? શુભાશુભનો સત્સંગ કરવાનો અધિકાર. ત્યારે મારે કહેવું પડે છે કે મેં જે જ્ઞાનની શોધખોળ કરી છે, તે બિલકુલ ઊંચી જાતની શોધખોળ કરી છે. ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : એ ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોય ? દાદાશ્રી : ક્રમિકમાં પ્રતિક્રમણ છે પણ ક્રમિકમાં આ ગ્રેડમાં પ્રતિક્રમણ હોય નહીં. આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ એ ‘પોઈઝન’ જેવું છે. કારણ કે ક્રમિકમાં અતિક્રમણ કરે જ નહીં. એ ઊંચે દરજ્જે આવેલો માણસ અતિક્રમણ કરે જ નહીં. તો પછી પ્રતિક્રમણ શાનાં હોય ? એ ક્રમણવાળા હોય અને સેકડે બે-પાંચ ટકા જેટલું અતિક્રમણ થાય. તે તો પાછું એને ફળ મળવાનું. બાકી એ અતિક્રમણ કરે જ નહીં. અને આપણને તો અહીં આગળ ઓચિંતું જ જ્ઞાન મળ્યું ને (પા.૪૫૨)એટલે જેવો માલ ભર્યો તે નીકળે, તેનું બધું પ્રતિક્રમણ કરવું પડે. ક્રમિક માર્ગમાં શુદ્ધાત્મા અનુભવ થયા પછી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી. અને આપણો આ અક્રમ માર્ગ ખરોને, એટલે માલ બધો જથ્થાબંધ ભરેલો ને આપણે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે આપણે આ માલ ખાલી થવાનો, તે પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પણ પ્રતિક્રમણ આપણે જાતે કરવાનું નહીં. આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણે ચંદુભાઈને કહેવાનું કે ભઈ, તમે આ બગાડ્યું છે, માટે તમે સુધારો. આ પ્રતિક્રમણથી લોકો જોડે વેરભાવ બંધ થઈ જાય. તમારે આ ભાઈ જોડે કંઈ ભાંજગડ હોય, એ ભાઈ કંઈ ઊંધું-છતું બોલી ગયા હોય તો તમને મનમાં દુઃખ થયું હોય, ને તેથી તમારા વિચારો એને માટે બગડ્યા હોય, ખરાબ ધ્યાન થયું હોય તો તમારે એના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું. એને નહીં, એના શુદ્ધાત્મા જોડે સીધું પ્રતિક્રમણ કરવાનું અને એ દોષથી મુક્ત થવાનું. ફરી નહીં કરું એવું પ્રત્યાખ્યાન કરવાનું એટલે એ દોષ ધોવાઈ જાય. શુકલધ્યાન પછી પ્રતિક્રમણ એ પોઈઝનઅને પ્રતિક્રમણ કરવાનું ના કહું તો ચાલે નહીં. તમે કહો છો એ વાત તદ્દન સાચી છે, કે પ્રતિક્રમણ એ ‘પોઈઝન’ ગણાય છે. પ્રતિક્રમણ જો શુક્લધ્યાન થયા પછી જાતે કરે તો તો પછી શુક્લધ્યાન કહેવાય જ નહીં. પણ આ પ્રતિક્રમણ જાતે નથી કરવાનું. આ પ્રતિક્રમણ તમે કોની પાસે કરાવડાવો છો ? પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’ પાસે કરાવડાવવાનું. પણ ચંદુભાઈને કહેનારો કોણ છે ? દાદાશ્રી : આ મહીં જે પ્રજ્ઞાશક્તિ છે તે પ્રજ્ઞાની શક્તિ જ કામ કર્યા કરે છે. પ્રશ્નકર્તા : જે સ્વાભાવિક રીતે જઈ રહ્યું છે તેને પાછો મુકામ આપે છે. (પા.૪૫૩)દાદાશ્રી : એનાથી બહુ ઊંડા ઉતરશો તો મહીંથી કાદવ નીકળશે. આ તો ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.’ ઉનાળામાં સહુ કોઈ કહે કે ઓઢવાનું નહીં જોઈએ. બધાય કહે, પણ ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ઓઢવાનું કરે. ઉનાળામાં મહીં તાવ ચઢ્યો તો ? ઓઢવાની જરૂર પડે. એટલે આ ‘એવિડન્સ’ છે. ‘એવિડન્સ’ને પેલી રીતે મપાય નહીં કે ઉનાળામાં ના કહેતા હતા તે કેમ ઓઢવાનું માંગો છો ? અરે ભાઈ, તાવ ચઢ્યો, આપ ને બા ઓઢવાનું. તું વગર કામનો સમજુ નહીં. અને પોતાને કરવાનું નથી આ. પ્રતિક્રમણ ચંદુભાઈ પાસે કરાવડાવે છે. જે અતિક્રમણ ‘પોતે’ કરતો નથી, તો પ્રતિક્રમણ પોતાને શા માટે કરવાનું હોય તે ? નથી જરૂર ‘એને’ પ્રતિક્રમણનીજ્ઞાન આપીએ છીએ ત્યારે બોલીએ છીએ તું શુદ્ધાત્મા છે, એક્ઝેક્ટ ? હા. તો આ શું રહ્યું ? એ તારું ‘વ્યવસ્થિત’. વ્યવસ્થિતનો અર્થ શો ? ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવું, તે વ્યવસ્થિતનો અર્થ. ચંદુભાઈએ કો’કનું બે લાખનું નુકસાન કર્યું, તો એમ આપણે જોયા કરવાનું. પછી ના સમજણ પડે એટલે કહીએ છીએ ‘પ્રતિક્રમણ કર’. વ્યવસ્થિત એટલે જે છે તે એક્ઝેક્ટ જોયા કર. એટલે તમે છૂટા. પ્રતિક્રમણ શેનાં કરવાનાં કે ‘આપણાં’ ‘વિપરિણામ’ને લીધે આ સંયોગો ભેગા થાય છે, તે પ્રતિક્રમણથી ભૂંસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલથાપ ખાઈ જાય તેથી. અસલ સાયન્ટિસ્ટ તો આંગળી ઘાલે જ નહીં. ‘ધ વર્લ્ડ ઈઝ ધ સાયન્સ’ (આ જગત વિજ્ઞાન છે) ! એમાં નથી જરીકેય વિરોધાભાસપ્રશ્નકર્તા : આપની વાણી નિમિત્ત આધીન ખરીને, એટલે ઘણી વખત પ્રતિક્રમણ કરવાની ‘દાદા’ ના કહે છે, ઘણી વખત પ્રતિક્રમણ કરવાનું કહે છે, તો આ કેવી રીતનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર નથી એવું અમે ના બોલીએ. (પા.૪૫૪)અને એ તો કોઈ ફેરો બોલ્યા હોય તો એનું કોઈ ખાસ એવું મહત્ત્વ નથી હોતું એવા સંજોગ હોય છે. એ તો સંજોગ પ્રમાણે વાણી હોય છે. પ્રશ્નકર્તા : એટલા માટે આ ‘પઝલ’ ઊભું થયું છે. દાદાશ્રી : ના, એ પઝલ ઊભું કરવાની જરૂર જ નથી. અને એક જ બાજુ અમારું વાક્ય ના હોય હંમેશાં. બધા સંજોગ પ્રમાણે હોય અને ‘ડીપેન્ડ અપોન’ (આધાર રાખે) સામાને શું સંજોગ છે ! પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : અને કંટાળી જાય એવો કોઈ હોય, તોય એમ કરીનેય પણ એને આગળ લાવીએ અમે. સામો કંટાળી જાય એવો હોયને, તો ઉપરથી આ બોજો નાખીએ તો ? એટલે એને આપણે કહીએ કે આ કરવાની જરૂર નથી. તું તારું બીજું આ કર. એમ કરીને અમે આગળ ચલાવીએ. એટલે અમે સંજોગ પ્રમાણે વાણી બોલીએ. પણ મૂળ અભિપ્રાય તો અમારે ‘પ્રતિક્રમણ કરવાં’ એ જ હોય. પ્રશ્નકર્તા : એ પેલાનો ઉલ્લાસ તૂટી ના જાય એટલા માટે... દાદાશ્રી : એ તો આટલું કરતા હોય તેમાં પ્રતિક્રમણ આવે ત્યારે બોજો સહન ના થાય, એટલે બધુંય નાખી દે. એટલે બધાને જુદું જુદું બોલવું પડે મારે. એટલે પછી અમે આગળ-પાછળ બોલ્યા હોઈએ કે અમારી વાણી સંજોગોના આધીન હોય છે, સંજોગ પ્રમાણે. એટલે લોકો ઊંધું પકડતા નથી. પણ જેને ઊંધું પકડવું હોય તેને બધું જડી આવે. અને ઊંધું પકડે તેનોય વાંધો નથી. એ ઊંધું પકડે, એના એ જ કાઢી નાખે. આ તો વિજ્ઞાન જ એવું છે કે એ જે ઊંધું પકડેને, એ જ એને ખૂંચે પાછું. એટલે એની આપણે વરીઝ (ચિંતા) નથી રાખવાની. (પા.૪૫૫)એટલે આપણે શું કહ્યું કે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અને પ્રતિક્રમણ થઈ રહ્યું હોય તો જોયા કરો. શું માફી માંગવાની આત્માએ કરીને ?પ્રશ્નકર્તા : આ જે ક્ષમા માંગે છે એ પ્રતિષ્ઠિત આત્મા જ ક્ષમા માંગે ને ? દાદાશ્રી : હા, મૂળ આત્માને માગવાની જરૂર શી તે ? જે ગુનો કરે તેને માગવાની જરૂર. પ્રતિષ્ઠિત આત્માએ ગુનો કર્યો માટે પ્રતિષ્ઠિત આત્મા માંગે. આ અતિક્રમણ તો શું, બીજું બધું જ ચંદુભાઈ કરે છે. એમાં આત્મા કશું કરતો નથી. એ તો ખાલી પ્રકાશ જ આપે છે. મહાવીરેય નિહાળ્યું નિજ પુદ્ગલને જદાદાશ્રી : હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ? પ્રશ્નકર્તા : મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ? દાદાશ્રી : પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો ? જો આ સોંપેલું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવ ને ટેબલ ઉપર નિરાંતે બેસીને જમો ને ! કોઈ બાપોય વઢનાર નથી. કોઈ ઉપરી છે જ નહીં. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા ‘બ્લન્ડર્સ’. ‘બ્લન્ડર્સ’ દાદાએ તોડી આપ્યાં અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દસ, કોઈ દા’ડો ભૂલો દેખાય છે ? પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી, પાંચ-પાંચ, દસ-દસ ભૂલો દેખાય છે ને તેને ખમાવું છું. દાદાશ્રી : ના, એ પ્રતિક્રમણ શીખવું પડશે. અત્યારે કોઈ (પા.૪૫૬)આચાર્ય મહારાજ હોય તે કહેશે કે તમે આત્મજ્ઞાન લાધ્યા પછી પ્રતિક્રમણ શાનું કરો છો ? પણ આ અક્રમ માર્ગ છે એટલે આપણે શું કરવાનું ? પોતાને નહીં કરવાનું. તમારે ચંદુભાઈને કહેવાનું કે ‘ચંદુભાઈ, તમે આ અતિક્રમણ કર્યુ છે માટે પ્રતિક્રમણ કરો.’ કારણ કે આપણે છૂટ્ટા થયા પણ આ ‘ચંદુભાઈ છૂટ્ટા થાય તો ‘આપણે’ છૂટ્ટા થઈએ.’ આ પરમાણુઓ ચોખ્ખા કરીને મોકલવા પડશે. ‘આપણા’ નિમિત્તે એવું બગડ્યું છે. પ્રશ્નકર્તા : ચંદુભાઈનો લોચો ઊભો છે હજુ, એને શુદ્ધ કરો. દાદાશ્રી : હા, તે આ દાદાની વિધિ કરે છે તે આત્મા નથી વિધિ કરતો. આપણે ચંદુભાઈને કહેવાનું કે ભાઈ, દાદાની વિધિ કરી લો. હજુ તો આપણે ચોખ્ખું કરવાનું છે. એટલે આપણે આત્મા તરીકે જાણ્યા કરવાનું કે આજે દાદાની વિધિ કરી, કેમ કરી, કેવી નહીં, એ બધું આપણે જાણ્યા કરવાનું. નિરંતર જાણવું એ ‘આપણું’ કામ અને નિરંતર કરવું એ ‘ચંદુભાઈનું’ કામ. ‘ચંદુભાઈ’ નોકર અને ‘આપણે’ શેઠ. હા ! પ્રશ્નકર્તા : સારું થયું, હું શેઠ થઈ ગયો. જામ્યું આ તો ! દાદાશ્રી : હા, અને પાછું ‘ચંદુભાઈ’ નોકર એટલે તમારે રોફ રાખવાનો. અને કહેવાનું કે ટેબલ પર બેસીને ‘ચંદુભાઈ’ જમો. રોફથી જમો. હવે અમે છીએ તમારી સાથે. ત્યારે કહેશે, મહારાજ ના કહેતા’તાને. ત્યારે કહીએ, મહારાજ ના કહે, પણ તમે રોફથી જમો. આપણને હવે દાદા મળ્યા છે, ટેબલ તો વાપરો, ના હોય તો લાવવું !!! જેણે અતિક્રમણ કર્યું તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું. ‘આપણે’ નહીં કરવાનું. આપણે જાણનાર, ચંદુભાઈ શું કરે છે એના તમે જાણનાર પછી વાંધો ખરો ? મહાવીરેય આ જ કરતા હતા. મહાવીર એક પુદ્ગલને જોયા કરતા હતા, નિરંતર. આ બધા લોકોનાં પુદ્ગલ જોવા ના જાય. એક (પોતાનું) જ પુદ્ગલ જુએ. (પા.૪૫૭)‘મારું નથી’ એ કોને થાય ?પ્રશ્નકર્તા : દાદા, એમ થાય કે આ મારું નથી તો પણ ત્યાં પકડાઈ જાય. દાદાશ્રી : તેનો વાંધો નહીં. તે કોણ પકડાયા ? પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, નહીં કરવી જોઈએ તો પણ થઈ જાય. દાદાશ્રી : ચંદુભાઈને થઈ કહેવાયને પણ ! આપણે ક્યાં કરીએ છીએ ? પ્રશ્નકર્તા : ત્યારે આપણને એમ થાય કે આ નાલાયકી ‘ચંદુભાઈમાં’ કેટલી ભરી છે ? દાદાશ્રી : ના, ના, ‘ચંદુભાઈ’ પકડાઈ જાય. કારણ કે ‘ચંદુભાઈ’એ કર્યું છે એટલે પકડાઈ જાય. એટલે બળજબરી કરીને પ્રતિક્રમણ કરો કહે. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈ પકડાઈ જાય, ‘તમે’ તો ના પકડાઓ ને ? તમારે તો પાડોશી તરીકે ચંદુભાઈને એમ કહેવું, કે ‘‘આવા દોષ કરીને તમે શું છૂટા થવાના ? ‘તમારે’ અમારાથી છૂટા થવાનું છે અને ‘તમારે ચોખ્ખા થવાનું છે. માટે તમે છે તે પ્રતિક્રમણ કરો.’’ અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું, સારા-સારાનું પ્રતિક્રમણ કરવાનું નહીં. એનાથી છૂટું પડતું જાયપ્રશ્નકર્તા : અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીએ કે એ ખોટી છે, આવું ના હોવું જોઈએ. ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ? દાદાશ્રી : એ આપણે છોડીએ છીએ ને છૂટી જઈએ છીએ. જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એનાં પ્રતિક્રમણ કરીએ તેમ તેમ (પા.૪૫૮)વેગળી થાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય. પ્રશ્નકર્તા : પછી દાદાના ફોટા પાસે આવીને રડુંય ખરી. દાદાશ્રી : હા, પણ જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય. આ બેન હવે ત્રણ મહિનામાં એક વખત જ ઘરમાં ભાંજગડ કરે છે. પહેલાં રોજ બે-ચાર વાર કરતી હતી એટલે નેવું દિવસમાં ત્રણસો સાઈઠ વાર કરતી હતી. તેને બદલે એક જ વાર કરે છે. એવું તમારેય થઈ જશે. આની જેમ બીજી એક બેન પણ રોજ ઘરમાં વઢંવઢા કરે. ઊંધું-ઊંધું બોલ્યા કરે. એને આ પ્રતિક્રમણ કરવાથી જ એનું છૂટું થવા માંડ્યું. એ રોજ પ્રતિક્રમણ કરે છે. પ્રશ્નકર્તા : આ સંસારની એક પણ ચીજ ભોગવવી નથી એવો નિશ્ચય છે, પણ જ્યારે અંદરથી અમુક એવી ઇચ્છા નીકળે છે તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે, તો શું કરવું ? દાદાશ્રી : તો એનું પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું. ફરી ન કરું, માટે માફ કરજો. પ્રતિક્રમણ એ છે પૌદ્ગલિક પણ પુરુષાર્થપ્રશ્નકર્તા : પ્રતિક્રમણને પૌદ્ગલિક કહ્યું તો તે ‘વ્યવસ્થિત’ને આધીન થયું ને ? દાદાશ્રી : ના. પ્રતિક્રમણ એ આત્મા નથી, એ પૌદ્ગલિક છે. પણ એ પુરુષાર્થ છે, જાગૃતિને આધીન છે. જાગૃતિ એ જ પુરુષાર્થ છે. જાગૃતિ રહી પછી કરવું ના પડે, થયા કરે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં એવું કરું છું કે અનંતા ભવોનાં પુદ્ગલનાં પર્યાયો કર્યા હોય, અંતરાય કર્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું. (પા.૪૫૯)દાદાશ્રી : આપણે તો દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં પુદ્ગલ પર્યાયો આવી જ જાય છે. જગત ચલાવે પુદ્ગલપ્રશ્નકર્તા : પુદ્ગલ અતિક્રમણ કેવી રીતે કરે ? દાદાશ્રી : પુદ્ગલ અતિક્રમણ એકલું જ ના કરે, આ જગત જ આખું પુદ્ગલ ચલાવી રહ્યું છે. લઢાઈઓ જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. આ બધું જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. એ જ્ઞાનીઓની ભાષા બીજાઓને કેમ સમજમાં આવે ? જ્ઞાનીઓ જોઈને કહે છે, જ્યારે બીજાને પ્રતીતિમાં લાવવાનું છે. આ બધું પુદ્ગલ જ છે. પ્રશ્નકર્તા : પુદ્ગલનું જે થયા કરે છે તે વ્યવસ્થિતના ધોરણે થયા કરે છે, પણ તે અતિક્રમણ કેવી રીતે કરી શકે ? દાદાશ્રી : ક્રમણ કરી શકે અને અતિક્રમણ પણ કરી શકે. બધું જ એ જ કરે છે ને ત્યારે ? પ્રશ્નકર્તા : એ પુદ્ગલમાં આત્માનું ચેતન ભળે તો જ થાય ને ? દાદાશ્રી : એનું નામ જ પુદ્ગલ કહેવાય. આ જે પુદ્ગલ પરમાણુ છે, એ તો આપણે પુદ્ગલ કહીએ છીએ, એટલું જ છે. એ પરમાણુ છે એ પુદ્ગલને તો ભગવાને મિશ્રચેતન કહ્યું છે. પુદ્ગલ પરમાણુ એટલે શું ? મિશ્રચેતન. ચૈતન્યભાવથી ભરેલું, તેને પુરણ થવું એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું ‘ચાર્જ’ થાય છે. પૂરણથી ‘ચાર્જ’ થાય છે ને ‘ડિસ્ચાર્જ’થી ગલન થાય છે અને અતિક્રમણ એ ગલન છે. જ્ઞાન પછી પણ એ અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે. સ્વપરિણતિ થઇ હોય તો પૂરણ છે. પરપરિણતિ થઈ હોય તો ગલન છે. પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ કરે તો એને તો રાગાદિ કશું હોય નહીં, તો પછી એમને અતિક્રમણ શું ને પ્રતિક્રમણ શું ? દાદાશ્રી : રાગ-દ્વેષ બધું ચંદુભાઈ (બાવા)ને જ છે. (પા.૪૬૦)માફી કોણ કોની માગે ?આપણું પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું પ્રતિક્રમણ છે. ક્રમણ માટે નથી. આપણે સામાના શુદ્ધાત્માને ફોન કરીએ તે એમને તરત પહોંચી જાય અને એનો શુદ્ધાત્માય તમારો ફોન પુદ્ગલને ધકેલે. પ્રતિક્રમણ માણસો સાથે કરવાનાં હોય, જડ સાથે નહીં. પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મા છો, એટલે તમારે પ્રતિક્રમણ નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું એ પણ શુદ્ધાત્મા પર નથી કર્યું, એ સામાના પુદ્ગલ માટે થાય છે. તો પ્રતિક્રમણની માફી જે માગીએ આપણે, એ સામાના શુદ્ધાત્માની માફી માગવાની કે એના પુદ્ગલની માફી માગવાની ? દાદાશ્રી : શુદ્ધાત્માની માફી માંગવાની. તે માફી માગનાર કોણ પાછો ? પુદ્ગલ. અને તે સામાના શુદ્ધાત્માની પાસે માફી માગવાની છે. હે શુદ્ધાત્મા ભગવાન ! તમારી સાક્ષીએ માફી માગું છું. પ્રતિક્રમણ પણ પુદ્ગલનુંપ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ પુદ્ગલનું કરીએ છીએ કે કોનું કરીએ છીએ ? દાદાશ્રી : પુદ્ગલનું જ, બીજા કોનું ? પ્રશ્નકર્તા : પુદ્ગલનું ને ! તો એવી રીતે આપણા પુદ્ગલનું પણ પ્રતિક્રમણ થઈ શકે કે નહીં ? દાદાશ્રી : આપણા જ પુદ્ગલનું કરવાનું. સામાના પુદ્ગલનું તો એને નુકસાન થયેલું હોય ત્યારે કરવું પડે, નહીં તો આપણા જ પુદ્ગલનું પ્રતિક્રમણ કરવાનું છે ને ? પ્રશ્નકર્તા : એ આપણા પુદ્ગલનું પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : એ બધું આપણી પ્રજ્ઞા કરે છે. (પ્રજ્ઞા ચંદુભાઇ પાસે કરાવે છે.) (પા.૪૬૧)પ્રતિક્રમણ કરવાનું કહે કોણ ?પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે બોલીએ છીએ કે, ‘મન-વચન-કાયાથી તદ્દન ભિન્ન એવા શુદ્ધાત્મા !’ એવું નથી બોલતા ? તો પછી કેમ પુદ્ગલનું કહેવાય ? દાદાશ્રી : એ તો શુદ્ધાત્મા પાસે માફી માગું કે મારાથી આ ભૂલ થઈ, એની માફી માગું છું. પ્રશ્નકર્તા : પણ માફી શુદ્ધાત્મા પાસે માગવાની ? અને પ્રતિક્રમણ પુદ્ગલનું કરવાનું ? દાદાશ્રી : નહીં, પ્રતિક્રમણ ને માફી એક જ વસ્તુ છે. એના શુદ્ધાત્મા પાસે માફી માગવાની કે આ તમારા પ્રતિષ્ઠિત આત્મા જોડે મારે જે ભૂલ થઈ છે, તેની માફી માગું છું. પ્રશ્નકર્તા : જે માણસે જ્ઞાન ના લીધું હોય, તોય એવી જ રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : (એનાથી) ના થાય. એ ચાલે નહીં ને ! જ્ઞાન લીધું ના હોય તેણે તો એમ ને એમ માફી માંગી લેવી જોઈએ. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધું હોય ને સામાએ જ્ઞાન ના લીધું હોય તો ? દાદાશ્રી : સામાએ જ્ઞાન ના લીધું હોય તેનો વાંધો નહીં. આપણે પ્રતિક્રમણ કરી શકીએ. પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો તો એ કહેનાર કોણ ? કોણ એવું કહે ? દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : આપણે આપણું પ્રતિક્રમણ કરીએ, ત્યારે ખરેખર પુદ્ગલ શુદ્ધાત્માનું કરે છે ને ? (પા.૪૬૨)દાદાશ્રી : એ એના શુદ્ધાત્માને કરે છે. એ આપણા શુદ્ધાત્માના એટલે આ પ્રજ્ઞાશક્તિ. આ પ્રતિક્રમણમાં પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધ ચેતન કામ કરે છે. પ્રશ્નકર્તા : અતિક્રમણ બીજાને માટે નહીં પણ પોતાને અંગે પણ થઈ શકે ? દાદાશ્રી : પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો ભઈ, તમે કેમ આવી ભૂલો કરો છો ?’ જુદો દોષ ને દોષનો જાણકારપ્રશ્નકર્તા : દોષને જાણીએ તો દોષ કહેવાય કેમ ? દાદાશ્રી : તમે જાણકાર છો તો જાણકારનો દોષ નથી. પણ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે. ક્રમણનો વાંધો નથી પણ ચંદુભાઈ કોઈને ટૈડકાવતા હોય, ત્યારે પોતે ચંદુભાઈને તમારો દોષ છે, એમ કહે. આ અક્રમ છે, એમાં જોવાનો માલ એકલો શુભ જ હોય તો વાંધો નથી. પ્રશ્નકર્તા : જ્ઞાયક હોય પછી અશુભનોય શું વાંધો ? દાદાશ્રી : એવી જાગૃતિ હોય નહીં ને ! તેથી અમે પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ. આ ખોખું છે એ આત્માના પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ. તે આ ખોખુંય ભગવાન જેવું બનાવવાનું છે. તેથી પ્રતિક્રમણ કરવાનું ને ! ક્રમિક માર્ગમાં તો બધું શુભ જ હોય. તેથી તેમને પ્રતિક્રમણ હોય નહીં. ત્યાં તો પ્રતિક્રમણને દોષ ગણ્યો છે. ત્યાં તો ક્રમણ, શુભ એકલું જ હોય. તો પ્રતિક્રમણ નહીંપ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરવાનું ? (પા.૪૬૩)દાદાશ્રી : હા, એ વિચાર તરત એને પહોંચે ને એનું મન બગડે. પ્રતિક્રમણ કરો તો એનું બગડેલું હોય તોય સુધરે. કોઈનું કશું ખરાબ વિચારાય નહીં. પ્રશ્નકર્તા : કોઈના માટે ખરાબ વિચાર આવ્યો એ વિચારને તો હું જોઉં છું. દાદાશ્રી : જોનાર હોય તો વાંધો નહીં. પણ જોવાનું રહી ગયું તો પ્રતિક્રમણ કરવું. જોયું તો એની મેળે ઊડી જાય. એને જ્ઞાનથી ‘કરેક્ટ’ જોઈ શકતા હોય તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : છૂટા રહીને જોઈ શકતા હોય તો આવા વિચાર જ ના આવે. દાદાશ્રી : આવે, તદ્દન છૂટા રહે તોય આવે. એ તો ભરેલો માલ છે ને ! ‘ઇફેક્ટ’ આવ્યા વગર રહે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં દોષ ઊડ્યોપ્રશ્નકર્તા : પોતાના જ દોષ થયા હોય તો ? દાદાશ્રી : એ તો જોવા. પારકાના દોષ દેખાય એટલે પ્રતિક્રમણ કરીને ઉડાડી મેલવા. પ્રશ્નકર્તા : આપણે દોષના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, એટલે ધોવાઈ જાયને કે પછી પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : પછી દોષ જ રહ્યો નહીં ને ! આ તો ખબર પડતી નથી તે ઘડીએ પોતે આવો ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહ્યો નથી. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં કરવાનું નહીં કશુંજાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા હોય ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. તે પ્રતિક્રમણ હવે ‘તમારે’ કરવાનું નથી. ‘જ્ઞાતા-દ્રષ્ટા’ છે તે ‘કરે’ નહીં અને ‘કરે એ જ્ઞાતા-દ્રષ્ટા’ નહીં. એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ (પા.૪૬૪)કરવાનું. જેણે અતિક્રમણ કર્યુંને, તેને જ ‘આપણે’ કહીએ ‘તમે’ પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય. અહંકાર, અતિક્રમણ ને પ્રતિક્રમણમાંપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ કરે છે તે. પ્રશ્નકર્તા : પણ અતિક્રમણ કોણ કરે છે ? દાદાશ્રી : અતિક્રમણ એ અહંકાર કરે છે. પ્રશ્નકર્તા : અતિક્રમણ અહંકાર કરે છે તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું ? દાદાશ્રી : હા, પ્રતિક્રમણેય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, ‘અતિક્રમણ કેમ કર્યું ?’ પ્રજ્ઞા શું ચેતવે ? ‘અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.’ પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞા ‘રિલેટિવ’માંથી આવે છે કે ‘રીયલ’માંથી ? દાદાશ્રી : એ ‘રીયલ’માંથી આવે છે. એટલે એ ‘રીયલ’માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની શક્તિઓ છે. રીયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અજ્ઞા હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતાં સુધી છોડે જ નહીં. જે ટાઈમે અહીંથી દેહ છૂટ્યો ને મોક્ષની તૈયારી થઈ, એ ટાઈમે પ્રજ્ઞા આત્મામાં સમાવેશ થઈ જાય, એ કંઈ જુદી શક્તિ નથી. પ્રશ્નકર્તા : એટલે અહંકાર ‘રિલેટિવ’માં જ આવે ને ? દાદાશ્રી : એ બધું રિલેટિવમાં જ જાય. (પા.૪૬૫)પ્રશ્નકર્તા : દાદા, રીયલ અને રિલેટિવ બે જુદા છે, તો પછી આપણે શું કરવા વચ્ચે ભેગા થવાની જરૂર આવી ? પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? રિલેટિવમાં આપણે પડવાની શી જરૂર ? દાદાશ્રી : ‘રિલેટિવમાં’ પડવાની જરૂર નથી, પણ સામાને દુઃખ થયું તે ‘આપણે’ ચંદુભાઈને (પોતાની જાતને) કહેવું જોઈએ કે, ‘ભઈ, આને દુઃખ કેમ કર્યું ? માટે તમે પ્રતિક્રમણ કરો.’ બસ, એટલે ધોઈ નાખવો. ડાઘ પડ્યો કે ધોઈ નાખીએ. આપણે ‘રિલેટિવ’ કપડું પણ ચોખ્ખું રાખવાનું. પ્રશ્નકર્તા : દાદા, આ દુઃખ પહોંચાડે છે, તે ‘રીયલ’ પહોંચાડે છે ? દાદાશ્રી : ‘રીયલ’ તો કશું કરતું જ નથી. બધું ‘રિલેટિવમાં’ જ છે અને દુઃખેય ‘રિલેટિવને’ પહોંચે છે, ‘રીયલને’ પહોંચતું નથી. દુઃખ કોને થાય ?પ્રશ્નકર્તા : દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે ? દાદાશ્રી : હા, અહંકારને દુઃખ થાય છે. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણની શી જરૂર છે ? રિલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે ? દાદાશ્રી : પણ પેલાને દુઃખ થયું, એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્યો ને ! એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમ ને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવો. પ્રશ્નકર્તા : એટલે ‘રિલેટિવ’ ચોખ્ખું રાખવું જરૂરી છે ? દાદાશ્રી : એવું નથી. ‘રિલેટિવ’ જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી. ક્રમણથી પણ એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ (પા.૪૬૬)કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. અને તે કો’ક વખત થાય છે, રોજ થતું નથી. અને પ્રતિક્રમણ ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ, પણ પ્રતિક્રમણ કરવું એ સારું છે. પ્રશ્નકર્તા : આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી તો આ પ્રતિક્રમણ કરવાની આપણા હાથમાં કેવી રીતે હોય ? દાદાશ્રી : અતિક્રમણની સત્તા નથી. પ્રતિક્રમણ તો આ મહીં ચેતવણી આપે છે, મહીં જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ તે ચેતવે. સ્થૂળ અને સૂક્ષ્મમાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કોણ કરે ? દાદાશ્રી : જે અતિક્રમણ કરે છે તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવામાં આવે છે. પ્રશ્નકર્તા : અહીંયાં મને સ્થૂળ વાત કહો ને, કે આ પ્રતિક્રમણ શરીર કરે ને ? હું ચંદુભાઈને જઈને કહું કે ‘મેં તમને કાલે આપેલું, મને માફ કરો.’ એ પ્રતિક્રમણ શરીરે જઈને કહે એટલે આ સ્થૂળ વસ્તુ થઈ તો એમાં સૂક્ષ્મ વસ્તુ કંઈ છે ? દાદાશ્રી : કેમ ? અંદર જે પ્રતિક્રમણ કરવાનો ભાવ થયો તે સૂક્ષ્મ છે અને આ બહાર જે થયું એ સ્થૂળ છે. આ સ્થૂળ ના થયું હોય તોય ચાલે. એટલે સૂક્ષ્મ કરે તો બહુ થઈ ગયું. અને જેણે અતિક્રમણ કર્યું તેને જ પ્રતિક્રમણ કરાવડાવીએ, કે ભઈ, તું કર, બા. તે અતિક્રમણ કર્યું માટે તું પ્રતિક્રમણ કર. તું પ્રતિક્રમણ કર ને શુદ્ધ થઈ જા. એટલે આ અતિક્રમણવાળાને ભાંગી નખાવડાવાનું કે ભાઈ, હવે શું કામ આમ કરો છો ? પ્રતિક્રમણ જેવો કોઈ રસ્તો નથી. જો ‘સાયન્ટિફિક’ રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તોય વાંધો નથી. પણ ‘સાયન્ટિફિક’ રીતે આપણા લોકોને રહેતું નથી એટલે તમારે આવું કંઈક બોલવું જોઈએ. કારણ કે એ બોલે છે તે શુદ્ધાત્મા નથી (પા.૪૬૭)બોલતો, એ છે તે પ્રજ્ઞા નામની શક્તિ બોલે છે. એટલે શુદ્ધાત્માને બોલવાનું હોય જ નહીંને ! એટલે પ્રજ્ઞા નામની શક્તિ કહે કે ‘આવું કેમ કરો છો ? આવું ના હોવું જોઈએ.’ આટલું કહે તો બસ થઈ ગયું. અગર તો કો’કને ખરાબ લાગે એવું વર્તન થયું તો પ્રજ્ઞા નામની શક્તિ ચંદુભાઈને કહે કે, ‘તમે પ્રતિક્રમણ કરી નાખો. પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન કરો.’ બસ એટલું જ. આમાં છે કાંઈ અઘરું કશું ? ફરી ફરી પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એક વખત કર્યું પણ પછી ફરી પાછું એવું અતિક્રમણ કરે તો ? દાદાશ્રી : ફરી થાય તો ફરી પ્રતિક્રમણ કરવાનાં. ફરી પ્રતિક્રમણ કરો, બધું બંધ થઈ જશે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની વાત શબ્દથી નહીં, પણ અનુભવ પકડે તો એને તરત જ ખ્યાલ આવી જાય છે. એનું પરિણામ આવે છે. દાદાશ્રી : એ તો આપણા મહાત્માઓને અનુભવ થઈ ગયા, પણ બહારવાળાને અનુભવ થતાં વાર લાગે ને ! જેટલું ઊંધું ચાલ્યા એટલું પ્રતિક્રમણ કરીએ, એટલે પાછા આવીએ પછી રહી ખોટ ? પ્રશ્નકર્તા : પછી ખોટ ના રહી. સવળીએ ચઢેલુંદાદાશ્રી : જ્ઞાન પછી મહીં સવળું જ ચાલ્યા કરે. પહેલાં તો આખો દહાડોય મહીં અવળું ચાલ્યા કરે. આ જ્ઞાન સવળું જ કર્યા કરે. તું સામાને ધોલ ચોપડી દઉં તોય પણ મહીં કહેશે, ‘ના, ના, એમ કરાય નહીં, પ્રતિક્રમણ કરો.’ અને પહેલાં તો જ્ઞાન ના લીધું હોયને ત્યારે તું ચોપડી દઉંને, તેની જોડે એ કહેશે, ‘વધારે આપવા જેવી છે. આમ કરવા જેવો જ છે.’ એટલે આ તમને જે અંદર ચાલ્યા કરે છે ને, તે સમકિત બળ છે, જબરજસ્ત બળ છે ! એ રાત-દહાડો ચાલ્યા કરે, નિરંતર ચાલ્યા કરે ! (પા.૪૬૮)પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરી રહી છે ? દાદાશ્રી : હા, પ્રજ્ઞા કામ કરી રહી છે. મોક્ષે લઈ જવા માટે આ બધું બિસ્તરાં-પોટલાં ઘસેડીને મોક્ષમાં લઈ જાય. ‘અક્રમ’માં ક્ષાયક પ્રતીતિજ્યારે કો’કની જોડે ઝઘડો થાય તો આપણા મહાત્માને તો પ્રતીતિ ના જાય. લક્ષ ચૂકી જાય, પણ પ્રતીતિ ના જાય. કારણ કે પ્રતીતિ ક્ષાયક પ્રતીતિ છે. પ્રતીતિ ક્ષણવારેય ના જાય. ઝઘડામાંય ના જાય. કો’કની જોડે ઝઘડતા હો તો અમે અહીં ઠપકો ના આપીએ. જ્ઞાની-જ્ઞાની ઝઘડતા હોય તો અમે ઠપકો ના આપીએ. અમે જાણીએ કે ફાઈલનો નિકાલ કરે છે. પછી તરત જ પ્રતિક્રમણ કરવા માંડે. આપણે કહેવું ના પડે, એની મેળે જ પ્રતિક્રમણ કરવા માંડે. આમાં પ્રતિક્રમણ એવી રીતે હોય છે. એ પોતે શુદ્ધાત્મા, મહીં આ ક્રિયા કરનાર છે તે, પ્રજ્ઞાભાવ કહેવાય છે. અને એ પ્રજ્ઞાભાવથી એમને કહે, ‘તમે પ્રતિક્રમણ કરો.’ એમ જુદી રીતે વાત થાય. એ પોતે ચંદુભાઈને કહે કે, તમે પ્રતિક્રમણ કરો, તમે આવું કર્યું, અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ એટલે તમે આવતા હોય ને એમનો ભાવ સહેજ બદલાયો હોય. તમને ખબર ના પડી હોય, કોઈનેય ખબર ના પડી હોય પણ પોતે જાણે ને કે આ ભાવ મારો બદલાયો હતો. એટલે તરત જ કહે છે કે ‘પ્રતિક્રમણ કરો એમના નામનું.’ તમારા નામનું પ્રતિક્રમણ કરે, ‘શૂટ ઑન સાઈટ.’ એક પ્રતિક્રમણ બાકી રહી જાય નહીં. પાડોશીભાવે પ્રતિક્રમણ કરાવવાંપ્રશ્નકર્તા : નિશ્ચયનું લક્ષ રાખ્યું, શુદ્ધાત્મા ‘કર્મબંધ’ કરતો જ નથી, તો પછી પ્રતિક્રમણ શું કરવાનાં ? દાદાશ્રી : પાડોશભાવ છે આ. પાડોશીનો આપણે ખ્યાલ રાખીએ છીએ, નિકટના પાડોશી ‘ફર્સ્ટ નંબર,’ તે આપણે એને સમજણ પાડવી (પા.૪૬૯)કે ભઈ, તમે આ અતિક્રમણ કર્યું છે એટલે પ્રતિક્રમણ કરજો. નહીં તો જોખમદારી આવશે. અતિક્રમણનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. નહીં તો આ અક્રમ માર્ગનું આવ્યું છે, તે કંઈ એમને એમ હોલવાઈ ના જાય. કોઈ વસ્તુ એમને એમ હોલવાય નહીં. પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના સિવાય આ જગતમાં કોઈ વસ્તુ હોલવાય નહીં ને મોક્ષે જાય નહીં. અપરાધોની જ ગાંસડીઓપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અપરાધ કર્યો હોય તો કરાયને ? દાદાશ્રી : નર્યા અપરાધ જ છે. છે જ અપરાધી. એ ચોથા ગુંઠાણાવાળાય અપરાધી કહેવાય. એક ક્ષણવારેય નિર્અપરાધી થયો જ નથી. નિર્અપરાધી તો જ્યારે શુદ્ધાત્મા થાય, ત્યારે જ થાય. નિર્અપરાધી થયો એટલે અહંકાર ગયો અને મમતા ગઈ, ત્યારથી એ નિર્અપરાધી થયો. પણ તે પાછું આ પાડોશી (ફાઈલ નં. ૧)અપરાધી થયો. તે અહીં બે ભાગ પાડી દેવામાં આવ્યા છે, પ્રકૃતિ ને પુરુષ. તે તમે પુરુષ થયા એટલે પુરુષ થઈને પ્રકૃતિને સૂચના આપો કે, તમે આ અમારા પાડોશી થાઓ. એટલે તમને સલાહ આપીએ કે તમે અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો. એટલે આ કુદરતી રીતે જ થઈ જાય. આ જ્ઞાન જ એવું છે ને ! અને પછી આજ્ઞા કરેલી હોય. એટલે આજ્ઞા એની મેળે જ કરાવડાવે. એમને કશું કરવાનું ના હોય. અમારી આજ્ઞાથી બધું થાય એવું છે. એટલે આ ફાઈલ ને સામાનીય ફાઈલ, એટલે સામો દોષિત દેખાય નહીં. કોઈપણ માણસ અમને દોષિત દેખાતો જ નથી. જીવ માત્ર અમને દોષિત દેખાતો નથી. ફૂલ ચઢાવે તેય દોષિત દેખાતો નથી. આ અક્રમ વિજ્ઞાન તો કો’ક ફેર, દસ લાખ વર્ષે એક જ વખત પ્રગટ થાય છે. દોષો ધોવાય પશ્ચાત્તાપથીજેને ત્યાં આગ્રહ હોય, એ મોટામાં મોટું ‘પોઈઝન’. કોઈ પણ (પા.૪૭૦)વસ્તુનો આગ્રહ એ મોટામાં મોટું ‘પોઈઝન’. અમે નિરાગ્રહી હોઈએ. જે ભાગનું નિરાગ્રહી થયું એટલે કરેક્ટ થયું. આ જગતમાં જીવ માત્રનો દોષ છે જ નહીં, એ જ્ઞાનીની દ્રષ્ટિ. જે દોષિત દેખાય છે, એ આપણો દ્રષ્ટિદોષ હોય છે, આપણા રાગ-દ્વેષ છે. દોષિત દેખાય છે એ ‘ઈગોઇઝમ’ છે, રાગ-દ્વેષ છે. અમને કોઈ ધોલ મારે, તે વખતેય એ નિર્દોષ દેખાય. પ્રશ્નકર્તા : દોષિત દેખાયા પછી પશ્ચાત્તાપ તો બહુ થાય છે. ફરી પાછું એવું થઈ જાય છે. દાદાશ્રી : પશ્ચાત્તાપ તો જેટલું એની જોડે દોષ થયો છે ને એ ધોવાઈ જવા માંડે છે. જે તમારો દોષ થયો હશે તે ધોવાઈ જશે. જગતને નિર્દોષ ના દેખાય. જગતને તો કોર્ટ એ નિર્દોષ હોય, બાકી દોષિત જ દેખાય બધા. ‘ફાધર’ હોય કે ‘મધર’ હોય કે ગમે તે હોય. કોઈ દોષિત દેખાયું નથી ને ? પ્રશ્નકર્તા : ફન્ડામેન્ટલી (મૂળ સ્વરૂપે) તો નિર્દોષ છે, એવું સમજાય છે પણ કો’ક વખત ફરી પાછા દોષ દેખાવા શરૂ થઈ જાય છે. પણ પાછાં પ્રતિક્રમણેય થાય છે, એટ એ ટાઈમ (તરત જ). દાદાશ્રી : એટલે એ ધોવાઈ જાય છે. જે દોષ થયા હશે તે તો ધોવાઈ જાય છે. દોષ દેખાય છે ને એ ધોવાઈ જાય છે, એ જ તમે નિર્દોષ જુઓ છો. તમારે માટે એ અને અમારે આ હઉ પ્રતિક્રમણ કરવાનાં હોય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ એટલે ફરી પાછા એડજસ્ટ થઈ જઈએ છીએને ? દાદાશ્રી : એની મેળે જ થયા કરે. કેટલાક તો સો-સો પ્રતિક્રમણ (પા.૪૭૧)કરે છે, છસ્સો-છસ્સો પ્રતિક્રમણ કરે છે. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરે છે. અમારે આનાં કરવાનાં પ્રતિક્રમણહું તો ઔરંગાબાદ જઉં ને, તો ત્યાં બધા પ્રધાનો, મૅમ્બર ઑફ પાર્લામૅન્ટ, એમ.એલ.એ., એવા બધા આવે. હવે એ આવે એટલે મારે તો બધું કરવું જ પડે ને ! એ કહેશે, ‘હું એમ.એલ.એ. છું. મારે આમ પ્રસારણ કરવું છે ને મારે આમ કરવું છે, તો વિધિ કરી આપો.’ હવે મહીં કશુંય માલ નહીં, આમ નોકરીમાંય ના રખાય એવા ! પ્રશ્નકર્તા : ચોખ્ખી ભાષામાં બોલીએ તો બેલના ભરેલા ! દાદાશ્રી : શું થાય ત્યારે ? પણ આવું બોલીએ તો પ્રતિક્રમણ કરવાં પડેને, છૂટકો જ નહીં ને ! અમે કોઈ દહાડો આવું ના બોલીએ, પણ અમે પછી પ્રતિક્રમણ કરીએ. પણ શું થાય તે ? આય માલ ભરેલો હોય ત્યારે જ નીકળે છે ને, એમ ને એમ કંઈ નીકળે ? એનાં પાછાં પ્રતિક્રમણ અમારે કરવાં પડે, છૂટકો જ નહીં ને ! અમારે તો ચાલે જ નહીં. બેજવાબદારી વર્તન કોઈનુંય ના ચાલે. ભાવ, ક્રિયા ને તેનાં ફળક્રિયાઓનું ફળ ભવિષ્યમાં નથી, ભાવનું ફળ ભવિષ્યમાં છે. ક્રિયાનું ફળ અહીંનું અહીં મળી જાય છે. અમારેય પ્રતિક્રમણ કરવું પડે પણ બહુ જૂજ. અમારું દ્રવ્યેય ચોખ્ખું હોય બધું. એકુય ક્રિયા એવી ના હોય કે નિંદ્ય હોય. બધી મનોહર હોય. પ્રશ્નકર્તા : ટીકાપાત્ર ના હોય. દાદાશ્રી : ટીકાપાત્ર ના હોય ને મનોહર હોય. એ વાણી, વર્તન અને વિનય બધું મનોહર હોય. સામાના મનનું હરણ કરે. અને તો જ આ જગતનો છુટકારો થાય એવો છે. નહીં તો ચોપડાઓ વાંચે કે (પા.૪૭૨)આ શાસ્ત્રો વાંચે કે બધી ક્રિયાઓ કરે, તોય એ ક્રિયાઓ સફળ છે. કેટલીક ક્રિયાઓ ફળવાળી છે. ભગવાનનો કાયદો શું છે કે જે તેં ક્રિયા કરી એનું ફળ તારે ભોગવવું પડશે. તો તારે એ ફળ ભોગવવા સુધીની ઇચ્છા હોય તો કર અને તેમાંથી પાછાં બીજાં બીજ પડ્યા કરે ને ચાલ્યા જ કરવાનું તોફાન ! અમારાં પ્રતિક્રમણ, દોષ થતાં પૂર્વેપ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા, કે અમારાં પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે. દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ ‘શૂટ ઑન સાઈટ’ થવાનાં. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થયું ! કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું ? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું એનું પ્રતિક્રમણ અમારે થઈ ગયું હઉ. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય અને બોલીએય ખરાં અને પ્રતિકમણ કરીએય ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં. પ્રશ્નકર્તા : દાદા, અમારેય ઘણી વખત એવું બને છે, કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં અમને ફરક લાગે છે. દાદાશ્રી : એ અમારો તો કેવો ફેર ? ધોળા વાળ ને કાળા વાળ એકદમ સુંવાળા, કેવો ફેર ? પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતનાં કરો છો ? દાદાશ્રી : એની રીત ના જડે, બળ્યું ! જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી, એ આવે ત્યાં સુધી એ રીત ખોળવીય નહીં. આપણે આપણી મેળે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું. પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે, દાદા. (પા.૪૭૩)દાદાશ્રી : ના. પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, ‘ક્લિઅર’ જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય ? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું ‘અન ક્લિઅર’, બધા ઢગલેઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીંને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને દેખાય છે પછી વાંધો શો છે ? પ્રશ્નકર્તા : ના, આ તો જાણવા પૂછ્યું. દાદાશ્રી : ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે. ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવા હતા. પ્રશ્નકર્તા : આપની વાત જુદી છે. દાદાશ્રી : ના, તેનેય અમારે ગમે તેવું જુદું હોય તો પણ અમારે એનાં પ્રતિક્રમણ કરવાં પડે. એક અક્ષરેય છોડાય નહીં. કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો ? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ ? પ્રશ્નકર્તા : જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં. દાદાશ્રી : જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતુંય હોય એક બાજુ, પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું, એમેય જાણતો હોય. પ્રશ્નકર્તા : એ તો જ્ઞાનીપુરુષની વાત થઈ. દાદાશ્રી : ના, તમારે હઉ એવું રહે ને ? પ્રશ્નકર્તા : એવું થાય છે કે જાગૃતિ હોય, છતાં નિંદા કે પેલું જે કંઈ કરતા હોય, એ બન્ને ભેગું થતું હોય છે. અને તે વખતે એનું પ્રતિક્રમણ થઈ જાય. (પા.૪૭૪)અમારી ભૂલો, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમઅમારી પ્રકૃતિ ભૂલ રહિત હોય. કોઈને ભૂલ જડે નહીં. કારણ કે ભૂલ રહિત હોય. અમને ભૂલ કઈ હોય ? અમારે સ્થૂળ ભૂલ ના હોય, સૂક્ષ્મ ભૂલ ના હોય. તમારી સ્થૂળ ભૂલો ગઈ હોય પણ સૂક્ષ્મ રહે અને મારે છે તે સ્થૂળ ને સૂક્ષ્મ બેઉ ના રહે. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જે જગતના કોઈ પણ જીવને નુકસાન ના કરે એવી ભૂલો અમને રહે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કે જીવમાત્રને નુકસાન ના કરે એવી ભૂલો અમારી પાસે હોય. જ્યાં પોતાના દોષ પોતાને દેખાય ત્યાં ઉપરી નથી. ઉપરી એટલે શું કે ક્યાં સુધી તમારે ફરજિયાત ઉપરી હોય જ, કે જ્યાં સુધી તમે તમારા દોષ જોઈ શકતા નથી, ત્યાં સુધી તમને ઉપરી હોય જ. તમારા દોષ જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. કુદરતનો કાયદો આ, નેચરલ લૉ. મારે જે દોષ થયેલો મને દેખાતો હોયને, એ તો બહાર કહું તો જગત આફરીન થઈ જાય ! આને દોષ કહેવાય છે ? મારે કંઈ આવા દોષ નહીં આવવાના, આવા નહીં આવવાના, આ તો કચરો બધો. મારો જે દોષ દેખાય છેને તે જગત જો સાંભળીને તો આફરીન થઈ જાય, અને કહે કે આને દોષ ગણાય કેમ ? એટલે તો એ ભગવાન કેવા ? કેવું કૈવલ્ય છે ! કેટલું ઐશ્વર્ય ધરાવે છે !! ફૂલ ઐશ્વર્ય !!! આખા વર્લ્ડમાં. તેથી કહીએ છીએને, જોડે બેસી રહેજો, સમજણ ન પડે તોય ! પ્રશ્નકર્તા : દાદા, એકાદ દાખલો આપોને, એ દોષ તમે કીધાને, જ્યાં એ આશ્ચર્ય પામીએ, એનો એકાદ દાખલો આપોને ? દાદાશ્રી : એ તો ખરો વખત આવે ત્યારે સામો દાખલો આપીશ ત્યારે મજા આવે. અમને એ દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાવ તો કહે શું કે શી રીતે આ દોષ હોય ? આને દોષ ગણાય (પા.૪૭૫)કેમ કરીને ? જમતી વખતે દોષ દેખાયને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો, દોષ એટલે પુદ્ગલના પણ મૂળ માલિક તો આપણે. જવાબદાર તો આપણે જ ને ! ટાઈટલ તો આપણું જ હતું ને પહેલાં, અત્યારે ટાઈટલ આપી દીધું. પણ એ કંઇ વકીલો છોડે કે ? કાયદા ખોળી કાઢેને ? પ્રશ્નકર્તા : માલિકીપણું છૂટી ગયું છે કહો છો પછી દોષ આપણા કેમ કહેવાય ? પુદ્ગલના દોષને આપણે શું લેવાદેવા ? દાદાશ્રી : આપણા કહેવાય નહીં પણ જવાબદાર તો છો જ. પ્રશ્નકર્તા : એ તો આપને માટે વાત છે. દાદાશ્રી : એ તો દોષ અમને દેખાય છે, તે અમને સમજાય છે ને ! ઓહોહો ! ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે, કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે. એ અમારે સાચા લાગે છે પાછા. તે ‘અમે’ ક્યાં છીએ, ‘એ’ ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો ? આવા કંઈ સંસારી દોષ થયા, એવા નથી. પ્રશ્નકર્તા : બહુ સૂક્ષ્મ હોય એ દોષો ? દાદાશ્રી : સૂક્ષ્માતિસૂક્ષ્મ. સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. એટલે મને એમ સમજાય છે ને કે ઓહોહો ! આ જ્ઞાની ક્યાં છે ! અને આ ભગવાન ક્યાં છે !! ના સમજાય ? પ્રશ્નકર્તા : સમજાય. દાદાશ્રી : તેથી હું કહી દઉં છું ને, તે આમ કરીને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો !’ સાચા ભગવાન પકડ્યા. મેં તમને દેખાડ્યા. હજુ આખા વર્લ્ડને દેખાડીશ, સાચા ભગવાન દુનિયામાં છે કે નહીં તે. લોકોને તો વિશ્વાસ જ નહીં કે ભગવાન છે કે નહીં તે, આત્મા છે કે નહીં તે. પણ વિશ્વાસ નથી તેમને દેખાયા ! આત્મા છે એવું તો વિશ્વાસ બેસી ગયો લોકોને. (પા.૪૭૬)આ તમને દોષ દેખાડીએ, એ તમને તમારા દોષ નથી દેખાતા તેથી એ તમારા ઉપરી ભવિષ્યમાં પણ રહેશે. દેખાડનારા જોઈએ ને ? મારે તેથી ઉપરી થવું પડ્યું છે ને ! નહીં તો તમારા ઉપરી મારે થવાનું હોય નહીં. હું તો જ્ઞાન આપીને છૂટો થઈ ગયો. કાયમ ઉપરી તેથી રહેવું પડે છે, દેખાડનાર જોઈએ. તમને દોષો દેખાતા નથી માટે. આ થોડા ઘણા દોષો દેખાય છે ને, તે મેં દ્રષ્ટિ આપી છે તેથી દેખાયા. હવે વધારે ને વધારે દેખાય છે કે નથી દેખાતા ? પ્રશ્નકર્તા : દેખાય છે ને ! દાદાશ્રી : હજુ સૂક્ષ્મમાં તો પહોંચ્યા જ નથી. આ તો બધું હજુ સ્થૂળમાં છે. જ્ઞાનીની દ્રષ્ટિ, અનુયાયીઓ તરફસૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્રષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે એ દોષો સ્થૂળ નથી. પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ? દાદાશ્રી : દેખાય બધા દોષો, પણ અમારી દોષ ભણી દ્રષ્ટિ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય, પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્રષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્રષ્ટિ ના હોય. બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં. તેથી જ કવિએ કહ્યું છે ને, ‘‘મા કદી ખોડ કાઢે નહીં. દાદાનેય દોષ કોઈના દેખાય નહીં !’’ અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ. એટલે અમારે સહજ ક્ષમા હોય. એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ. અહીંથી લપસી પડે એવું લાગે, એ ‘સ્લીપ’ થાય એવું હોય તો જ (પા.૪૭૭)કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે. કારણ કે જાગૃતિનો માર્ગ છે આ ! નિરંતર ‘એલર્ટનેસ’ (જાગૃતિ)નો માર્ગ છે આ ! અક્રમમાં નહીં પ્રમાદ રેપ્રશ્નકર્તા : પ્રમાદને આધાર કોણ આપે છે ? દાદાશ્રી : એ તો ક્રમિક માર્ગની વાત છે. અક્રમમાં પ્રમાદ હોતો જ નથી. પ્રમાદ એટલે અહંકાર હોય તો મદ હોય અને મદ હોય એટલે પ્રમાદ હોય, પ્રમત્ત હોય. અક્રમમાં એ હોય નહીં. આ માર્ગ તદ્દન જુદો છે. એક દહાડોય ચોપડો ચોખ્ખો થયા વગર રહે નહીં એવો માર્ગ છે. સાંજે પ્રતિક્રમણ કરીને બધા ચોપડા ચોખ્ખા જ કરી નાખે. અને કોઈ દોષિત દેખાય નહીં આ દુનિયામાં, બધા નિર્દોષ દેખાય. બધો પોતાનો જ દોષ છે, પારકો દોષ જ નથી. જગતમાં કોઈનો દોષ નથી. એટલે આખું જગત નિર્દોષ છે. પોતાના દોષથી આ બધું ઊભું થયું છે. માટે એ દોષોને ધૂઓ. આપણે શું કહીએ છીએ ? પ્રતિક્રમણ કરો. કો’કનો દોષ જોઈને તો આ સંસાર ઊભો થયો છે ને પોતાના દોષ જુએ એટલે મોક્ષે જાય પછી. અને પોતાના દોષ વર્લ્ડમાં કોઈ જોઈ શકે નહીં. સાધુ-આચાર્યોય ન જોઈ શકે. એ તો જ્ઞાનના પ્રતાપે, અક્રમ વિજ્ઞાનના પ્રતાપે પોતાના દોષો દેખાય, નહીં તો એક દોષ ના દેખાય. અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણેય ના થઈ શકે. કેવું સુંદર વિજ્ઞાન ! નિરંતર સમાધિ આપનારું, લઢતાંય સમાધિ ! વઢંવઢા થાય, એ પૂર્વભવનું કારણ છે. હા, એ પહેલાંના ભરેલા માલનું કારણ છે. પણ આ વિજ્ઞાન નિરંતર સમાધિ આપે ! સહજ ક્ષમા જ્ઞાનીની વર્તે સદાસામો આડું કરે છે કે સવળું કરે છે એ વ્યવસ્થિતને આધીન કરે છે. (પા.૪૭૮)પ્રશ્નકર્તા : પણ અનાદિકાળથી આડું જોવાની ટેવ પડી છે તેનું શું ? દાદાશ્રી : હા, પણ આપણે ઉપયોગ રાખવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું. પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે, કઈ રીતે પ્રતિક્રમણ કરે ? દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ને આપણને આઘાત લાગે તો ? પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય, એણે કરવાનું હોય. પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ? દાદાશ્રી : એ સુધારે, આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની. પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને ? દાદાશ્રી : જે થઈ ગયેલું હતું તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ. પ્રશ્નકર્તા : ફરજિયાત છે. દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું તે ? એમાં નવું શું કર્યું તે ? અમારી સહજ ક્ષમા હોય, સામાની ભૂલ થાય તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, ‘પસ્તાશો નહીં જરાય. બરાબર છે.’ એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ. ક્ષમા સહજ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : દાદા પાસે ભૂલ થઈ અને બીજી સેકન્ડે આપણને (પા.૪૭૯)એવો અનુભવ થાય કે દાદાની બહુ જ કરુણા વરસી ગઈ આપણા ઉપર. દાદાશ્રી : હા, એટલે સહજ ક્ષમા ! પેલી ક્ષમા છે ને એ નથી આત્માનો ગુણ કે નથી અનાત્માનો ગુણ. એવી વસ્તુ છે ક્ષમા. તેને આ લોકો સંસારમાં લઈ જાય છે, એ ક્ષમા આપે છે, છતાં સારું છે. ભાષા તરીકે રાખવું સારું છે. ભાષા તરીકે ‘ઓર્નામેન્ટલ’ (શૃંગારિક) શબ્દ છે. મોટા માણસ નાના માણસને ક્ષમા આપે. લોકો કહેશે, ‘સાહેબ, મને ક્ષમા આપો.’ ત્યારે એ કહે, ‘હા, ક્ષમા આપું છું’, એ ‘ઓર્નામેન્ટલી’ સારું કહેવાય. બાકી ક્ષમા તો સહજ છે, ગુણ છે ! અમને આવા બહુ મળેલા, છતાં અમે વીતરાગ રહીએ. એ વાંકો થાય પણ અમે વીતરાગ રહીએ. એને દંડ આપવામાં અમારો હાથ જાય તો, એ તો દંડાય પણ અમને ડાઘ લાગેને ? અમારી પાસે જેટલા દંડને યોગ્ય છે તેમને પણ માફી હોય ને માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે ‘સાહેબ, માફ કરજો’ ત્યાં જ મેલા થાય છે. સહજ માફ થાય ત્યાં તો બહુ ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : જો આપની પાસે સહજ માફી મળી જાય, ઓટોમેટિક તો પછી પ્રતિક્રમણ ન કરવાં પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાં જ પડે. પ્રતિક્રમણ ના કરે તો એને નુકસાન થાય. પણ અમે માફી અપાવીએને, તે સહજ માફી અમારે એકલાને જ હોય, બીજા કોઈ આપે નહીંને ! અમારાં પ્રતિક્રમણ કરો તો તમારું કલ્યાણ જ થઈ જાયને ! અમારા પ્રત્યે કોઈને પ્રતિક્રમણ હોય જ નહીં. અમારો એક પણ ગુનો એવો ના હોય કે સામાને પ્રતિક્રમણ કરવું પડે. તમારો ગુનો હોય તે તો તમે પ્રતિક્રમણ કરોને તો એટલો જ ફાયદો રહે. બાકી સહજ માફ તો અમારે હોય જ. (પા.૪૮૦)પ્રશ્નકર્તા : તમે સહજ માફ કરો છો પછી પ્રતિક્રમણની મહેનત અમે શું કામ કરીએ ? દાદાશ્રી : હા, પણ તમારું બગડેલું રહ્યુંને ? અમે માફી આપીએ પણ તમારું બગડેલું હોય તેનું શું થાય ? માફી એટલે અહીંથી તમને હવે દંડ નહીં મળે. સાહજિકતા તૂટ્યાનાં પ્રતિક્રમણપ્રશ્નકર્તા : અમારી એવી જાગૃતિ હોવી જોઈએ કે દાદાને બહુ પ્રતિક્રમણ નહીં કરાવવાં. દાદાશ્રી : એવું જો સમજદાર હોય તો બહુ સારી વાત કહેવાય. વગર કામનું મને એક જાતનું, પોતે સાંભળીને આવ્યા હોય તે અહીં કહે, તે અમને મનમાં ગમે નહીં. હવે એમને પોતાને એવો ઈરાદો ના હોય, પણ હવે એની પ્રકૃતિનું એ બધું લઈને આવેલા. એટલે હવે એમાં એમનો દોષ નહીં. દોષ અમારો કે અમારે પ્રતિક્રમણ કરવાં પડે છે. જેનો ટાઈમ બગડે એનો દોષ. એ તો બેન્ડ વાગ્યું. બેન્ડનો સ્વભાવ વાગવાનો. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં તમારેય પ્રતિક્રમણ કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે. આજ્ઞાપૂર્વકનાં પ્રતિક્રમણઆ પ્રતિક્રમણ કરવાથી બહુ શક્તિઓ ખીલે પણ અમારી આજ્ઞાથી કરે તો. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ને ક્યારે ? દાદાશ્રી : અમારી આજ્ઞા લઈને કરી આવે તો કામ કાઢી લે, (પા.૪૮૧)આ જાત્રામાં ખાસ. એવા સંજોગોમાંય આજ્ઞાથી કરવું. ૧૯૭૩માં અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલા. ત્યાંય અમારે તો નો લૉઝ (કોઈ કાયદો નહીં). તે પછી એવું નહીં કે કોઈની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવું નહીં. તે જો લઢે તો ‘અમે’ જોઈએ. પણ રાત્રે પાછા બધા ‘અમારી’ સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા ધોઈ નાખે ! આ પ્યૉર ‘વીતરાગ માર્ગ’ છે, એટલે અહીં કેશ-રોકડાં પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક-માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ. પ્રશ્નકર્તા : આમ જાગૃતિ છે કે ‘શુદ્ધાત્મા’ છું પણ છતાંય પેલું અગાઉનું... દાદાશ્રી : જે કચરો હોયને, તે મહીંથી ના નીકળે તો મહીં રહી જશે, એના કરતાં નીકળે તો સારું. એટલે અમે જાત્રાએ જતા’તાને, તે અમારા થોડાક પટેલો ને મહીં બીજા તમારા જેવા વણિકો હોય, તે અંદર-અંદર એવા બાઝે, એવા બાઝે તો આ બધા મને શું કહે, કે દાદાજી, આમને છોડાવોને ! આ લોકો આટલા અવળા શબ્દો બોલે છેને, બહુ લડી પડ્યા છે. મેં કહ્યું, મારી રૂબરૂમાં લઢે તો ઉકેલ આવી જાય ને. જલદી પાર આવી જાય અને કશું બંધાય નહીં બિચારાને. એટલે તો મારંમાર કરતા હોય તો છોને મારવા દો કે ‘મારો બરોબર.’ એવું કહું, ‘મારજો બરોબર.’ એ તો મહીં છે તો મારશો. મહીં છે જ નહીં, તો શી રીતે મારવાના ? એટલે આ બસમાં આવું આખો દહાડો તોફાન ચાલ્યા કરે એટલે ડ્રાઈવર મને એમ કહે કે, ‘સાહેબ, તમે તો ભગવાન જેવા છો. આવા માણસ જોડે તમારે ક્યાંથી પ્રેમ થયો ?’ મેં કહ્યું, ‘આ માણસો જ ઉત્તમ છે બધા. એક દહાડો સુધરશે !’ પછી સાંજ થાયને એટલે બધા આરતી કરે પાછા, ભેગા થઈને (પા.૪૮૨)‘દાદા ભગવાન’ની ! બસમાં ને બસમાં. એ મારે-કરે પણ પાછા બધા ભેગા થઈને આખી આરતી બોલે. અને પછી પ્રતિક્રમણ કરવાનાં. જે બધા વઢંવઢા કરતા હતા, મારંમાર, તે સામા આવીને પગે અડીને પાછા નમસ્કાર કરી આવે. એટલે પેલો ડ્રાઈવર કહે છે કે ‘આવું તો મેં દુનિયામાં કોઈ જોયું નથી.’ તરત જ પાછું પ્રતિક્રમણ કરવાનાં. રોજ એક વખત પ્રતિક્રમણ કરવાનાં. લઢો એટલું જ પ્રતિક્રમણ કરવાનું અને તે પગે અડીને. જો હવે છે કશી ભાંજગડ ? પ્રતિક્રમણરૂપી વિચાર આપીએ છીએ. અમારી આજ્ઞાથી પ્રતિક્રમણ કરશો તો સપાટાબંધ કલ્યાણ થઈ જશે. પાપ ભોગવવાં પડશે પણ આટલાં બધાં નહીં. આજ્ઞા ચૂક્યાનાં પ્રતિક્રમણઅમે તમને જ્ઞાન તો આપ્યું, પણ તે તમે ખોઈ બેસશો. એટલે આ પાંચ આજ્ઞા આપીએ છીએ, કે પાંચ આજ્ઞામાં રહો તો મોક્ષે જશો. અને છઠ્ઠું શું કહ્યું ? કે જ્યાં અતિક્રમણ થાય ત્યાં પ્રતિક્રમણ કરો. આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે ‘હે દાદા, આ બે કલાક આપની આજ્ઞા ભૂલી ગયો પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.’ તો પાછલું બધુંય પાસ. સોએ સો માર્ક પૂરા. એટલે જોખમદારી ના રહી. જેને ભૂલ ફરી કરવાની ઇચ્છા નથી, તેને અમે માફ કરી દઈએ છીએ. માફ કરવાનું અમારી પાસે લાયસન્સ છે. અમારી આજ્ઞામાં રહેશો તો કામ નીકળી જશે ને એને ચોળી ચોળીને બહુ ચીકણું કરેને તે શું થાય ? આજ્ઞામાં રહેવાતું ના હોય તો પ્રતિક્રમણ કરવું પડે. ઘેરથી નક્કી કરીને નીકળવું કે આજ્ઞામાં જ રહેવું છે. પછી ના રહેવાય તો તરત પ્રતિક્રમણ કરે. એમ કરતાં કરતાં છ મહિને, બાર મહિને પણ રાગે પડી જાય. પછી કાયમને માટે રાગે પડી જાય. (પા.૪૮૩)ટ્રેનમાં બેઠા હોય, ટેક્ષીમાં બેઠા હોય, તે બધાં મુક્ત જ છે ને ! બેસનારને શું ? આમ ડાફાં મારે, આમ ડાફાં મારે, આમ વિચાર આવે ! (ખરેખર) શુદ્ધ ઉપયોગ ચૂકાય નહીં. પૈસા ગણતી વખતે કેમ નહીં ચૂકતો ? કારણ કે જરા આડુંઅવળુંય નહીં જોતો. હમણાં હજાર-હજારની નોટો હોય ને તો આડુંઅવળુંય ના જુએ. તો આ તો એનાથી કિંમતી આત્મા જેવી વસ્તુ પ્રાપ્ત થયેલી ! બળ્યા, દસ-દસ પૈસાના સિક્કા હોય તોય ગણ ગણ કરે ! અને એકુય ભૂલ ખાધા વગર ! ‘તમારે’ કશું કરવાનું નહીં, તમારે તો નક્કી કરવાનું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને ના પળાય તોય તેની ચિંતા નહીં કરવાની. તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે તો તેમની જોડે, સાસુ દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે. પછી સમભાવે નિકાલ ના થાય તો તમે જોખમદાર નથી. આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી. તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે, તેને સમજી લેવાનો છે. પંપ પ્રતિક્રમણનોપાંચ આજ્ઞામાં વધારે રહેવું. બીજું કશું કરવા જેવું છે નહીં. સવારથી નક્કી કરવું કે પાંચ આજ્ઞામાં જ રહેવું છે ને ના રહેવાય તો રાત્રે પ્રતિક્રમણ કરી લેવું. એટલે બીજે દહાડે રહેવાય. પછી આગળ ફોર્સ વધતો જશે. એને કંઈ બીજા પંપો નથી હોતા, આ જ પંપ. પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણનો પંપ. દાદાશ્રી : પ્રતિક્રમણનો પંપ. એટલે મેં શું કાયદો કરેલો કે ભઈ, (પા.૪૮૪)જેટલી આજ્ઞાઓ તમારાથી પળાય એટલી પાળો. તમારાથી ન પાળી શકાય તો દાદાની પાસે ક્ષમા માગો કે દાદાજી, જેટલી પળાય એટલી પાળું છું ને ન પળાય એનું હું શું કરવાનો હતો ? માટે તમારી ક્ષમા માગું છું. એટલે તમારી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ. પણ આ ઈરાદાપૂર્વક ધકેલવા માટે આવું ના કરતા. પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : હાર્ટીલી રીતે તમારાથી ન થાય તે તમે આવી રીતે કરો, તો અમારી બધી આજ્ઞા પાળો છો એવું હું સ્વીકારી લઈશ. કારણ કે માણસ કેટલું કરી શકે ? જેટલું થાય એટલું કરે. અને બાકીનું માફી માગીએ, પછી એનું તો હું બધું ભગવાનને કહી દઉંને કે શું વાંધો છે આનો ? તમારી આજ્ઞામાં જ છે. ના પળાય તો એ શું કરે ? એટલે આપણે તો બધા કાયદા બહુ સુંદર ! પ્રતિક્રમણ કરી લેવું પડે. અને એ પ્રતિક્રમણ તમને ઉપર લઈ જશે, ટોપ ઉપર, એનાથી ઉપર જઈ શકાય. આપણે રસ્તા છે એટલે એમાં રહેવાની જરૂર છે. ટેન્શન (ચિંતા) રાખવાની કંઈ જરૂર નથી. આ આમાં કંઈ ખોટ જતી નથી. રસ્તા પકડવાની જરૂર છે, જ્ઞાન જ પકડવાની જરૂર છે. આજ્ઞામાં રહ્યો ત્યાં સુધી પરમાત્માજ્યાં સુધી આજ્ઞામાં રહે ત્યાં સુધી પરમાત્મામાં, આજ્ઞાની બહાર ગયો કે ખલાસ. ઓછી આજ્ઞા પળાય એનો વાંધો નહીં, પણ વધુ આજ્ઞા પાળવાની ઇચ્છા તો રાખવી જોઈએ. આજ્ઞા પાળવાનો ભાવ કરવો છતાં ઓછી પળાય તો રોજ પ્રતિક્રમણ કરવું જોઈએ, કે પળાતી નથી, માટે પ્રતિક્રમણ કરું છું. પછી જ્ઞાનીની આજ્ઞામાં સ્વચ્છંદ કરે, એ નર્કના અધિકારી. જ્યાં નહીં કરવાનું ત્યાં સ્વચ્છંદ કર્યો ? ત્યાં દગોફટકો ? ત્યાં કાલાબજાર કર્યો ? (પા.૪૮૫)ન આવે વિઘ્ન, પ્રતિક્રમણમાંપ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવામાં વિઘ્નો આવે, પ્રમાદ આવે, તેનું શું કારણ ? દાદાશ્રી : પ્રતિક્રમણમાં કોઈ વિઘ્ન જ ના આવે. પ્રશ્નકર્તા : દાદા, પ્રતિક્રમણ બરાબર થતું નથી. દાદાશ્રી : પ્રતિક્રમણ નથી થતું તેનુંય પ્રતિક્રમણ કરવું પડે. આજ્ઞામાં ના રહ્યા તેનુંય પ્રતિક્રમણ કરવું પડે. એટલે જોખમદારી ના રહી. આપણે ત્યાં શુદ્ધ વ્યવહાર એટલે શું ? પાંચ આજ્ઞામાં જ રહેવાનું તે. જેટલી પળાય તેટલી પાળવાની. બાકીનાનું પ્રતિક્રમણ કરી લેવું. શુદ્ધ ઉપયોગ ગોઠવોઆ આત્માને ઉપયોગમાં રાખવો એટલે આત્મા કોઈ બીજી વસ્તુ નથી, જ્ઞાન-દર્શન છે. તે જ્ઞાન-દર્શનને ઉપયોગમાં રાખવાનું. શુદ્ધ જ્ઞાન-દર્શન કોને કહેવાય ? રાગ-દ્વેષ વગરનું જ્ઞાન-દર્શન એ શુદ્ધ જ્ઞાન-દર્શન અને આ જગતની પાસે જે જ્ઞાન-દર્શન છે એ રાગ-દ્વેષવાળું છે, અશુદ્ધ છે. કેવું છે ? પ્રશ્નકર્તા : અશુદ્ધ છે. દાદાશ્રી : રાગ-દ્વેષ સહિત છે અને રાગ-દ્વેષ રહિત છે તે શુદ્ધ જ્ઞાન કહેવાય. એ શુદ્ધ જ્ઞાનથી કોઈ પણ જાતનો શુદ્ધ ઉપયોગ થાય. ના હોય તો બેઠા બેઠા આમ શુદ્ધ ઉપયોગમાં જોયા કરીએ તોય ચાલે. આમ રસ્તામાંય છે તો ચાલે. અને કશુંય ના હોય તો ઘરમાં બેઠા બેઠા એનાં પ્રતિક્રમણો કર્યા કરીએ. આ ગયા અવતારથી કેટલાય અવતારનું બધું આ જોઈન્ટ થયેલું છે ને ? તે પ્રતિક્રમણનો અડધો કલાક કાઢીએ તોય બધું નીકળી જાય. ઘરમાં દરેકેદરેક માણસનું નામ લઈ અને પ્રતિક્રમણ કર્યા કરીએ. આ ભવમાં થયેલાં ને પહેલાં અનંત ભવના (પા.૪૮૬)જે જે દોષ થયા હોય, એ ઉપયોગમાં રહે અને પેલું ચોખ્ખું થતું જાય. એવાં ઘણાં કામ હોય છે આપણે, એને શુદ્ધ ઉપયોગ રહ્યો કહેવાય. આ સગાંવહાલાં શેનાં થઈ પડ્યાં છે ? પાછલાં બધાં લટિયાં ગૂંથાયેલાં એટલે. આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે છૂટી ગયા. એને છૂટવું કે ના છૂટવું એ એની મરજીની વાત છે. આપણે છૂટી ગયા ! છૂટનારને કોઈ બાંધનાર નથી. મહાવીર ઉપરેય લોકો પ્રેમ વરસાવે છે, તેથી કંઈ મહાવીર બંધાય નહીં. મહાવીર જો જાતે પ્રેમ વેરે તો બંધાય. એટલે લોક મને શું કહે છે કે, ‘સામો કશું કરશે તો મારું શું થશે ?’ અલ્યા, સામાને જે કરવું હોય તે કરે, આપણે શું ? પુરુષ છે તેને સ્ત્રી માને તેને કંઈ આપણે ના કહેવાય ? ત્યારે એ કોર્ટમાં ફરિયાદ લઈને જાય તો તેને લો તમે ? એને ફાવે એવું કરે. એ સ્વતંત્ર છે. ના કરે ? પ્રશ્નકર્તા : કરે. દાદાશ્રી : એનો કકળાટ આપણે ક્યાં કરવા જઈએ ? આપણે આપણું સંભાળી લેવું. એટલે ઘણાં કામ આપણે આ બધા ઉપયોગમાં મૂકવાં. અમથા જોયા કરીએ તોય ઉપયોગ હોય છે. શુદ્ધાત્મા થઈ ગયા એટલે કંઈ કામ પૂરું થતું નથી. શુદ્ધાત્મા કોનું નામ કહેવાય કે સામો ગાળો દે અને આપણને જો અશુદ્ધિ થાય તો તે શુદ્ધાત્મા ના કહેવાય. એનો શુદ્ધાત્મા દેખાવો જોઈએ તે ઘડીએ. ગાળો જે દે છે એ આપણું ઉદયકર્મ દે છે. એ વાજિંત્ર વાગી રહ્યું છે, ટેપરેકર્ડ વાગી રહી છે, પણ ઉદયકર્મ તો આપણું જ ને ? અને સામો શુદ્ધ જ છે એટલે પોતે સામાને શુદ્ધ જુએ. પોતાને શુદ્ધ જુએ એનું નામ શુદ્ધ ઉપયોગ ! જીવ માત્રને શુદ્ધ જુઓ એ શુદ્ધ ઉપયોગ કહેવાય. ભેદજ્ઞાન, અક્રમ થકીપ્રશ્નકર્તા : આ અક્રમની વિશેષતા એ છે કે, આત્મા અને અનાત્મા એ બન્ને ભેદવિજ્ઞાની પાસેથી જે છૂટાં પડી ગયેલાં છે, એ જ અક્રમની ઐશ્વર્યતા છે. જ્યારે ક્રમિકની અંદર તો ઠેઠ સુધી પેલાનું સાતત્ય હોય જ છે. (પા.૪૮૭)દાદાશ્રી : ઠેઠ સુધી અહંકારેય ખરો, ઓછો થતો જાય. પ્રશ્નકર્તા : પેલામાં ઓછો થતો જાય અને અહીં તો આ જે છૂટું પડી ગયું છે, એને લીધે જે દશા વર્તે છે, એ અક્રમની વિશેષતા છે. દાદાશ્રી : એટલે જ અહીં પ્રતિક્રમણ કરવું પડે છે. અકાળ દશાએ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મોક્ષ માટે મોટામાં મોટું સાધનપ્રશ્નકર્તા : મેડે જવું હોય તો દાદરો એક જ સાધન છે. તેમ મોક્ષે જવું હોય તો, જ્ઞાન મળ્યા પછી, પ્રતિક્રમણ એક જ સાધન છે. એવું હું માનું છું. દાદાશ્રી : નહીં, એવું નહીં. પ્રતિક્રમણ તો આ બધાં સાધનોમાંનું એક સાધન છે. મોક્ષે જવું તે પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલું જ સાધન છે, બીજું સાધન નથી. પ્રશ્નકર્તા : હા, એ જ્ઞાન તો તમે આપ્યું, પણ પછી મુખ્ય વસ્તુ તો પ્રતિક્રમણ જ છે ને ? દાદાશ્રી : કેટલાકને પ્રતિક્રમણ ના કરવાં પડે. પ્રશ્નકર્તા : ભૂલ ના થાય તો પ્રતિક્રમણ ના કરવાં પડે. દાદાશ્રી : એવું કેટલાય માણસોને પ્રતિક્રમણ ના કરવાં પડે. એટલે એ સાધન તો કો’કને જરૂર હોય તો એ વાપરે. મુખ્યતાએ જ્ઞાન છે. જ્ઞાન હોય તો મોક્ષે જવાનું બને. બાકી જ્ઞાન ના હોય તો ગમે એ પ્રતિક્રમણ કરે તોય બધા સંસારમાં હોય. પ્રશ્નકર્તા : પણ જ્ઞાન મળ્યા વગર પ્રતિક્રમણ કેમનું કરે ? દાદાશ્રી : કરે છે ને લોકો ! એ અહંકારથી પ્રતિક્રમણ કરે કે ફરી એવું નહીં કરું, એવું કરે જ છે ને ! ને તે પેલાનું ગાડું ચાલે (પા.૪૮૮)છેય ખરું ને ! જેમ અતિક્રમણ અહંકારથી કરે છે, એવું પ્રતિક્રમણ અહંકારથી કરે છે. એ બધી પૌદ્ગલિક રચના છે. પુદ્ગલની રચના છે, એમાં કંઈ આત્મા નથી. અક્રમનાં પ્રતિક્રમણોથી જ મોક્ષપ્રશ્નકર્તા : પણ દાદાજી, એવું છે કે આ જ એક શસ્ત્ર છે જેનાથી મોક્ષ થવાનો છે. દાદાશ્રી : આ એક રસ્તો છે. અને આ અક્રમ છે, એટલે મોક્ષ સ્વભાવ જ છે. પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, પણ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરતાં રહેવું પડશેને ? દાદાશ્રી : કરવાં પડશે. તે પણ થાય તે કરે. ના થાય તે શું કરે ? એ તો ના ચાલતા હોય ત્યારે મારે ખભે બેસાડવા પડે. એ તો એની મેળે કરે પછી એનામાં શક્તિ આવે તો તો કરે પાછા. ના જ કરે એવા નફ્ફટ નથી આ. દાદાને મળેલા બધા ફટ છે. પ્રશ્નકર્તા : દાદા, અમને એ વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : એ તો તમારે માટે સમજાવવાનું હોય તો હું કહી દઉં કે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ત્રણેય કરજો. તમને બધાને કળ વળેલી છે. આમને કળ વળે નહીં. કળિયુગમાં શી રીતે માણસને કળ વળે ? આ છે સાયન્ટિફિક શોધખોળપ્રશ્નકર્તા : આપણે કંઈ ભૂલ કરી હોય અને પછી આપણને ખબર પડે, એટલે આપણે એનું પ્રતિક્રમણ કરીએ. તો આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપણે દોષમુક્ત થઈ જઈએ છીએ ? દાદાશ્રી : આ ભૂલ થાય છે તે તો પરિણામ છે, ‘રિઝલ્ટ’ છે. અને દોષના કારણ ક્યા હતા ? એ કારણો ખરાબ હતા, એટલે અમેય (પા.૪૮૯)પ્રતિક્રમણ કરીએ છીએ. એ પરિણામ માટે નહીં, પરિણામ તો એનું ગમે તે આવે. એટલે આપણે બધા દોષોના કૉઝને ખલાસ કરીએ છીએ. પ્રશ્નકર્તા : એટલે આ કૉઝિઝનું પ્રતિક્રમણ છે ? દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ કૉઝિઝને મારે છે, રિઝલ્ટને નથી મારતું. આ સમજમાં આવી ગયું ને ? કો’કને આપણે નુકસાન કર્યું, પછી આપણે પ્રતિક્રમણ કરીએ, હવે નુકસાન થયું એ તો જાણે કે ‘ઇફેક્ટ’ છે, ‘રિઝલ્ટ’ છે. નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપણો, તે ‘કૉઝ’ છે. તે પ્રતિક્રમણ કરવાથી એ ઈરાદો તૂટી ગયો. એથી પ્રતિક્રમણ એ કૉઝિઝ તોડે છે. બાકી આ બન્યું એ તો રિઝલ્ટ છે. એટલે પ્રતિક્રમણથી આ સાફ થઈ જાય છે. આ તો ‘સાયન્ટિફિક ઇન્વેન્શન’ (વૈજ્ઞાનિક શોધખોળ) છે ! પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જે કરીએ છીએ, તો એ પ્રતિક્રમણ કઈ રીતે તે કાર્ય કરે છે, કે જેનાથી આપણા દોષો ધોવાઈ જાય છે અને આપણને પ્યૉર ફોર્મ (શુદ્ધ રૂપ)માં લઈ આવે છે ? એ પ્રતિક્રમણ પેલાના શુદ્ધાત્મા પાસે જાય છે ને બધું ‘વાઈપ’ કરી આવે (સાફ કરી આવે) છે કે શું હોય છે એ ? દાદાશ્રી : એવું છેને, બટન દબાવ્યું એટલે લાઈટ થઈ અને ફરી પાછું બટન દબાવીએ એટલે લાઈટ બંધ થઈ જાય. એવી રીતે પેલું કંઈક દોષ કર્યો હોય અને પ્રતિક્રમણ કરીએ એટલે દોષ બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું ? દાદાશ્રી : હા. અમે કહીએ કે અલ્યા, તમારામાં અક્કલ નથી, તોય એ હસે. પ્રશ્નકર્તા : અમને આનંદ થઈ જાય છે. દાદાશ્રી : એવું કોઈ કોઈ માણસનું અતિક્રમણ હોય, જે બીજાને આનંદ કરાવે ! (પા.૪૯૦)જાય ચારિત્રમોહ માત્ર જોવાથીપ્રશ્નકર્તા : ઘણી ફેર મનમાં ભાંજગડ થયા કરે છે. દાદાશ્રી : તેને જોયા કરો. પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરીએ ને પાછી ભાંજગડ થયા કરે. દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તેનેય જોયા કરો. જેટલું અખંડ જ્ઞાન-દર્શન ભેગું થાય કે એટલું ચારિત્ર ઊભું થઈ જાય. હવે એ એને અનુભવ શેમાંથી થાય ? ચારિત્રમોહને જોવાથી અનુભવ થાય. એટલે ચંદુભાઈ શું કરી રહ્યા છે, એને બધું જુએ. પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’ શું કરી રહ્યા છે, એ ચારિત્રમોહ જે જોયા કરીએ, તે વખતે કોઈ ખરાબ વિચાર આવે તો ? દાદાશ્રી : ખરાબ વિચાર આવે તેય ચારિત્રમોહ. પ્રશ્નકર્તા : માત્ર એને જોયા જ કરવાથી એ જતું રહે કે એનું પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ નહીં કરવાનું. પ્રતિક્રમણ તો બધું પૂરું થયા પછી, આપણને ઠીક લાગે કે આ અતિક્રમણ કર્યું તો આપણે ચંદુભાઈને કહેવું કે, ‘પ્રતિક્રમણ કરો.’ ‘આપણે’ નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું હોય તે પ્રતિક્રમણ કરે. પ્રશ્નકર્તા : એટલે જોવા માત્રથી જ આખો ચારિત્રમોહ ઊડી જાય ? દાદાશ્રી : જોયા એટલે શુદ્ધ થયા. તમારી જે આત્મદ્રષ્ટિ છે એ એના પર પડી. પ્રશ્નકર્તા : ચંદુભાઈ તો નિરંતર અતિક્રમણ કરતા જ હોય ને ? દાદાશ્રી : અતિક્રમણ કરેલાં હોય એને પ્રતિક્રમણ કરવાનાં. (પા.૪૯૧)પ્રશ્નકર્તા : આમાં શક્તિ તો સામાના શુદ્ધાત્મા પાસે જ માંગીએ છીએ ને ? દાદાશ્રી : એ વ્યવહાર છે ખાલી. એમાં વ્યવહાર-નિશ્ચય ના હોય. એ વિવેકની ખાતર, વિનયની ખાતર છે. શક્તિઓ માંગવાની છે. પ્રશ્નકર્તા : ઇચ્છાઓ બધી થઈ રહી છે, એ બધું ચારિત્રમોહ જ છે ને ? પણ બાકી રહી જાય તે અને જેનું પ્રતિક્રમણ બરોબર ના થયું હોય તો પછી શું ? દાદાશ્રી : હું તો કહું છું, કે જોયા જ કરતો હોય તેને પ્રતિક્રમણેય કરવાની જરૂર નથી. કશુંય કરવાની જરૂર નથી. પરમાણુઓની શુદ્ધિ, જ્ઞાતા-દ્રષ્ટાપદથીપ્રશ્નકર્તા : દાદા, આપણે આ શરીરના એક-એક પરમાણુ શુદ્ધ કરવા માટે, એને જે થાય તેને જોયા રાખીએ, જ્ઞાતા-દ્રષ્ટા તરીકે તો શુદ્ધ થાય કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાથી શુદ્ધ થાય. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણથી શું થાય, દાદા ? દાદાશ્રી : પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ થયેલો હોય અને સામાને દુઃખ થાય એવો દોષ થયેલો હોય તો ‘આપણે’ એમને કહેવું પડે કે, ‘ભાઈ, આવું ના કરો.’ અતિક્રમણ કર્યું માટે તમારે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ ના કર્યું હોય, કોઈને દુઃખ થાય એવું, તો કશી જરૂર નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય, દાદા ? દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો આ છૂટવા માટે. પરમાણુ શુદ્ધ ના થાય એનાથી. આ ફરી એ ને એ થઈ જાય. આપણે આત્મા જોવાના. આપણે જોતાની સાથે જ છૂટા થયા. કારણ કે પુદ્ગલ તો ક્લેઈમ કરે (પા.૪૯૨)છે કે ‘તમે આ શુદ્ધાત્મા થઈ ગયા, પણ મારો મોક્ષ નહીં થાય.’ ‘કેમ ભઈ, આવો શો વાંધો છે ? હું શુદ્ધ થઈ ગયો. મારું સ્વરૂપ જાણી લીધું.’ ત્યારે પુદ્ગલ કહે છે, ‘તમે મોક્ષે નહીં જાવ. જ્યાં સુધી અમે તમને છોડીએ નહીં ત્યાં સુધી તો તમે શી રીતે જશો ?’ ત્યારે કહે, ‘ભઈ, તમને શું વાંધો છે ?’ ત્યારે પુદ્ગલ કહે, ‘અમે તો અમારા સ્વભાવમાં હતા. તમે જ અમને બગાડ્યા. તમે ચોખ્ખા થયા, હવે અમને ચોખ્ખા કરીને જાવ. માટે તમે અમને અમે હતા એવા કરી આપો એટલે અમે છૂટા.’ એટલે શુદ્ધ જોવું. જગત અશુદ્ધ જુએ છે. કારણ કે ‘હું કર્તા છું’ એ ભાવે કરે છે. અને ‘આનો કર્તા હું નથી’ એ ભાવ હવે થયો એટલે એ છૂટા થયા. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું થાય ? એની ઈફેક્ટ શું થાય ? પરમાણુ શુદ્ધ ના થાય એ તમે જ કહ્યું, તો પછી પ્રતિક્રમણથી થાય શું ? દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે એ ‘જોઈએ’ ત્યારે જ. આ પ્રતિક્રમણથી ઈફેક્ટમાં શું થાય, કે પેલાને જે દુઃખ થયેલું છે તેની અસર રહી જાય, તે પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એ અસર આપણે બનતાં સુધી ન કરવી જોઈએ. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શુદ્ધ થાય, એવું કહેવાય ? દાદાશ્રી : બાધેભારે કહેવાય. અક્રમમાં પ્રતિક્રમણ જવાબદારીપૂર્વકપ્રશ્નકર્તા : એક અવતાર જોયા કરવાનું તે પ્રતિક્રમણ કરતાં કરતાં જોયા કરવાનું ને ? દાદાશ્રી : નિરંતર ખ્યાલ રહેવો જોઈએ કે હું કંઈ જ કરતો નથી. નિરંતર ખ્યાલ રહેતો હોય તો પ્રતિક્રમણ ના કરીએ તોય ચાલે. અમને નિરંતર રહે. જે અમને રહે છે તે જ તમને કહીએ છીએ. અમને કાયમ રહે છે, જ્ઞાન થયા પછી. (પા.૪૯૩)બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. આ જ્ઞાન એવું છેલ્લા પ્રકારનું જ્ઞાન છે કે પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો જેને ગુજરાતી ચાર ચોપડીઓ આવડે, તેને ગ્રેજ્યુએટ બનાવીએ છીએ, ત્યાર પછી વચલા સ્ટાન્ડર્ડનું બધું શું થાય તે ? એટલે આટલું અમે અમારી જવાબદારીથી મૂકેલું વચ્ચે. નહીં તો આ જ્ઞાનમાં હોય નહીં છતાં અમારી જવાબદારીથી મૂકેલું. શુદ્ધાત્મા સિવાયનો બધો જ કચરો, એમાંથી એક ક્રમણ અને બીજું અતિક્રમણ. શુદ્ધાત્માની બહારનું જે જે છે તે બધા જ દોષ છે ને તેનું પ્રતિક્રમણ કરવું પડે. અક્રમ વિજ્ઞાનની બલિહારી તો જુઓ !!!પ્રશ્નકર્તા : આપના સ્વમુખે આ ખુલાસો સાંભળ્યો એટલે અમને સંતોષ થયો. દાદાશ્રી : એટલે આમાં તમે છૂટ્ટા જ છો. પ્રતિક્રમણ જોડે ને જોડે થાય છે, ત્યાં આગળ પછી હવે કોણ નામ દેનાર છે, બોલો ? પ્રશ્નકર્તા : અમારે પ્રતિક્રમણ આ દેહથી ક્ષણે ક્ષણે રાત-દા’ડો ચાલુ જ રહે છે. એનાથી હજુ પ્રતિક્રમણની શરૂઆત થાય ત્યાર પહેલાં તો પેલું અતિક્રમણ અદ્રશ્ય થઈ ગયું હોય. દાદાશ્રી : આ વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન તરત જ કામ કરનારું છે. આ અક્રમ વિજ્ઞાન આખો સિદ્ધાંત જ છે અને સિદ્ધાંત જ ફળ આપશે. જેમ ડુંગળીની એક ‘સ્લાઈસ’ (પડ) કાપો, તે ડુંગળીના બધા જ ગુણ દેખાડે, એવું આમાંથી એક ‘સ્લાઈસ’ જ કાપો તો સિદ્ધાંતનું જ ફળ આપશે અને અજ્ઞાનની એક ‘સ્લાઈસ’ કાપો તો એ અજ્ઞાનનું ફળ આપશે. એક ‘સ્લાઈસ’ ખાલી, એના ગુણ દેખાડે કે ના દેખાડે ? (પા.૪૯૪)આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ ‘વિજ્ઞાન’ અને કરવાપણું હોય એનું નામ ‘જ્ઞાન’. વિચારશીલ માણસ હોય તેને એવું તો લાગેને, કે આ આપણે કશુંય નથી કર્યું અને શું છે આ ! એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે ! ‘અક્રમ’, ક્રમ-બ્રમ નહીં ! (પા.૪૯૫)સામાયિકની પરિભાષા (ખંડ-૨)સામાયિક એટલે શું ?પ્રશ્નકર્તા : સામાયિક એટલે શું ? દાદાશ્રી : બે જાતના સામાયિક. એક વ્યવહારમાં પ્રચલિત સામાયિક, કે જેમાં મનને કુંડાળાની બહાર નીકળવા ના દે. મનને બાઉન્ડ્રી (સીમા)માં રાખે. બહાર જે ચાલે છે એમાં મન સ્થિર રહ્યું એ (વ્યવહાર) સામાયિક કહેવાય. અને બીજા પ્રકારનું સામાયિક તે ભગવાન મહાવીરે કહેલું યથાર્થ સામાયિક, જે આપણે અક્રમમાં બધા કરીએ છીએને ! (એક ગુંઠાણું એટલે કે અડતાળીસ મિનિટ સુધી પોતે આત્મસ્વરૂપમાં રહીને પોતાની ફાઈલ નં.૧ને જુએ તે.) પ્રશ્નકર્તા : આપણું અક્રમનું સામાયિક સમજાવો ને ! દાદાશ્રી : આપણું સામાયિક તો આત્મારૂપ થઈ જવાનું. મહીં ચંદુભાઈ (ફાઈલ નં.૧)નું તંત્ર શું ચાલી રહ્યું છે એ જોવું, ચંદુભાઈને આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો, ફલાણો આવ્યો, તેને બધાને જોવા, આપણે જોનાર. વિચાર એ દ્રશ્ય, આપણે દ્રષ્ટા અને જે સમજણ પડે એવા વિચાર હોય એ જ્ઞેય કહેવાય ને આપણે જ્ઞાતા. પછી ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, પગમાં દુઃખે છે, ત્યાં ચંદુભાઈ ધ્યાન રાખે છે કે નહીં, એ બધું ‘આપણે’ જાણવું. (પા.૪૯૬)પેટમાં ભૂખ લાગી હોય તોય જાણવી અને બહારનાનો વિચાર આવે તેને શુદ્ધ જોવો, એ આપણું સામાયિક. શુદ્ધ રહેવું, શુદ્ધ જોવું, આખી રાત કચકચ કરી હોય ને પછી સામાયિકમાં બેઠા, એટલે શુદ્ધ જોવું અને કહેવું, ‘ચંદુભાઈ, માફી માગી લો !’ પ્રશ્નકર્તા : દાદા, એ સામાયિક યથાર્થ રીતે કેવી રીતે કરાય ? દાદાશ્રી : અહીં આ બધા છે તે એવી જ ‘સામાયિક’ કરે છે. તે પછી સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે આ સામાયિકથી અહીં ઓગાળી શકાય. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ વિષય ‘સામાયિક’માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને ‘જોયા’ કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય તે ઓગળી જાય. આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિક-પ્રતિક્રમણની વ્યાખ્યાપ્રશ્નકર્તા : આપણા પ્રતિક્રમણ અને સામાયિકમાં શું કનેકશન (સાંધો) છે ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય તેનું. તમારો વ્યવહાર એ ક્રમણ છે ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યુ ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરવું. સામાયિક એટલે ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન તે સામાયિક. પાંચ આજ્ઞામાં નિરંતર સામાયિક રહે. સમભાવે નિકાલ કરવો એ પહેલું સામાયિક. અને સહજદશામાં, સ્વભાવિક રહેવું તે અમારા જેવું સામાયિક. તે તમનેય થોડું-ઘણું રહે. આ સામાયિક કરો છો, ત્યારે પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય. (પા.૪૯૭)સામાયિક કરતાં કરતાં વર્તમાનકાળને પકડતાં આવડે. એમ સીધે-સીધું ના આવે. કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો ને ! સામાયિક, ક્રમિક અને અક્રમનીજગત જે સામાયિક કરે છે એ જુદું સામાયિક છે અને આપણું આ સામાયિક એ જુદી જાતનું સામાયિક છે. ગજબનું ઊંચું છે આ સામાયિક ! આવું સામાયિક તો હોય જ નહીંને ? આ લોકોનું સામાયિક તો કેવું હોય છે કે સામાયિક કરે તેમાં બાઉન્ડ્રી બાંધીને બેસે, પછી જે વિચાર આવ્યો એને ધક્કા માર માર કરે. દુકાનનો વિચાર આવ્યો કે તેને ધક્કો મારે, પછી બીજાને ધક્કો મારે, એટલે ધક્કા માર માર કરે, એમ કરતાં કરતાં એક ગુંઠાણું પૂરું થયું એને આ સામાયિક કહે છે. અને આપણું આ સામાયિક તો ઓર જ જાતનું છે. આ સામાયિક શેને માટે છે ? બહારની ગાંઠો ઓગાળી નાખવાની, તે આપણે જાતે ‘ખુદ’ (આત્મા) થયા હોઈએ પછી આ સામાયિક થાય. આપણે શું કહીએ છીએ કે, ‘મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ જાણું છું.’ તો એ મન-વચન-કાયાના સ્વભાવને તું ઓગાળી નાખ. સામો પૂછે કે શી રીતે એ ઓગળે ? ત્યારે હું કહું, એને જોવાથી કે મન-વચન-કાયાનો સ્વભાવ આટલો જાડો છે, આટલો જાડો છે. તે તને ખબર પડેને કે આ આટલો જાડો છે ? પ્રશ્નકર્તા : ખબર પડે. દાદાશ્રી : તે સ્વભાવને સામાયિકમાં મૂકી દેવાનો. તે એટલો એનો સ્વભાવ ઓગળીને ખલાસ થઈ ગયો. એટલે પછી બીજો સ્વભાવ પકડવાનો. એટલે આ ગાંઠો ઓગાળી નાખવા માટે આ સામાયિક છે. આપણો તો અક્રમ માર્ગ છે. એટલે સ્વભાવ ઓગાળવા માટે આપણે આ સામાયિક કરવાની છે. નહીં તો, આ જ્ઞાન જ એવું છે કે આપણને (પા.૪૯૮)આખો દહાડો સામાયિક જ હોય. સામાયિક કોને કહેવામાં આવે છે કે કષાયનો અભાવ. કષાયના અભાવને ખરું સામાયિક કહેવામાં આવે છે. પણ કષાયનો અભાવ તો લોકોને રહે નહીં ને ! શી રીતે રહે ? તે આપણે તો કાયમ આખો દા’ડો સામાયિક રહે છે, પણ આ સામાયિક તો શેને માટે કરવું પડે છે કે આ બધો ભરેલો માલ ખાલી કરવાનો છે. તે બધો બહુ માલ છે. મસાલો એટલો બધો ભરી આવેલા છે કે બીજી માર્કેટમાંથી હઉ ભરી લાવ્યા છે. અલ્યા, આપણી દેશી માર્કેટમાંથી લે ને ? ત્યારે કહે, ‘ના, આ બટાકા જેવું લાગે છે.’ એમ કરી કરીને આ બધું જાતજાતનું ભરી લાવ્યા. આપણે કહેવા જઈએ તોય શરમ આવે, ઘડીવાર ! લૌકિક સામાયિકએ સામાયિકમાં તો મનને સ્થિર કરવાનું. જેમ એક ગાયને કુંડાળામાંથી ખસવા ના દે એવી રીતે. એ બહાર જાય તો હાંક હાંક કરે. સાસુનો વિચાર આવે તે પાછો એને ધક્કો મારે અહીંથી. કુંડાળામાંથી બહાર કાઢે, કુંડાળામાં પેસવા ના દે. જે વિચાર આવે તેને ધક્કો માર માર કરે આમ. પણ તોય મન લપટું પડી ગયેલું, જતું જ રહેને ? લપટું એટલે શીશો આડો થયો એટલે બૂચ ક્યાંય જતો રહે. આમ મનને પાછું લાવીને પોતાની બાઉન્ડ્રી (સીમા)માં રાખ રાખ કરવું એનું નામ સામાયિક. એ અત્યારે વ્યવહારમાં જે ચાલે છે એ (લૌકિક) સામાયિક કહેવાય. એટલો ટાઈમ કોઈ ડખો ના કરે, નિરાંતે બેસે. એક જગ્યાએ પેલી શીશી મૂકી રાખે. ઉપરની રેતી નીચે પડે. નીચે પડી રહે, એટલે પાછી ફેરવી નાખે. એ શીશી ઉપરનો ઢગલો પડતાં પડતાં એને અડતાળીસ મિનિટ થાય, એટલે ઢગલો પડી રહે. એટલે કહેશે, ‘મારું સામાયિક પૂરું થઈ ગયું !’ એટલે શીશી મૂકી રાખે ને પછી શું કરે ? આગલે દહાડે નક્કી કર્યું હોય કે સવારમાં સામાયિકમાં દુકાન યાદ જ (પા.૪૯૯)નથી કરવી. તો આંખો મીંચી કે તરત પહેલો દુકાનનો ધબડકો જ પડે. જે યાદ નથી કરવું, એ નિરાંતે પહેલો જ પડે. એટલે મૂઓ કંટાળી જાય પાછો બીજે દહાડે મને પૂછે છે કે, ‘આવું થયું.’ ત્યારે મેં કહ્યું, ‘શું કરવા એને યાદ કરે છે કે ‘મારે દુકાનને યાદ નથી કરવી ?’ તે એક્શન માર્યું પાછું તે રીએક્શન આવશે. એક્શન મારવાનાં જ શું કરવા તે ? પણ પછી સામાયિકમાં કરે શું તે ? શુદ્ધાત્મા થયા નથી, એટલે જે વિચાર આવે, એને ધક્કો મારે. કુંડાળાની બહાર આ વિચાર આવે એને કહેશે, અહીં નહીં. એટલે વખત પૂરો થાય. અડતાળીસ મિનિટ એ પાછો શીશી જોતો જાય. હજુ થોડીવાર છે, કહેશે. ભગવાને ના કહેલું તોય શીશી જોતા જાય. હશે પણ તોય લોક કહે છે, ‘ભઈ દોડધામ કરતો’તો, તેના કરતાં ઘડીવારેય આ પાંસરો મર્યોને ! નહીં તો પેલા માછીમાર માછલાં મારે અને આ અંદર માછલાં મારે. આને સામાયિક કહેવાય જ નહીંને ! એ તો એક જાતની સ્થિરતા છે. છતાં એ સામાયિક સ્થૂળ ભાષામાં ખોટું નથી. એટલી સ્થિરતા તો રહેને ! ખોટું તો કહેવાય જ નહીંને ! દુકાનેય ત્રણ કલાક જો માણસ સ્થિર બેસી શકતો ન હોય તો એ ધંધો કરી શકે નહીં. એ તો એની બેઠકે કેટલા કલાક બેસે છે એના ઉપર છે. ત્રણ કલાક સ્થિર બેસી રહેવો જોઈએ, એક જગ્યાએ. કેટલાકને ભમરા હોય છે તે પાંચ મિનિટ બેસે ને ઊઠે, બેસે ને ઊઠે. સ્વાધ્યાય સામાયિકમુમુક્ષુ : બે ઘડીનું સામાયિક કરીએ તો એમાં કઈ કઈ ક્રિયાઓ થઈ શકે ? દાદાશ્રી : એવું છેને, આ સામાયિક જે છેને, આ સામાયિક મનનું સામાયિક છે. દુકાનના વિચાર આવે કે બીજા રસોડાના વિચાર આવ્યા, તેને ધક્કા માર માર કરવાના. (પા.૫૦૦)મુમુક્ષુ : એવા વિચાર કંઈ નથી આવતા. દાદાશ્રી : ત્યારે શું આવે છે ? મુમુક્ષુ : ગમે તે થતું હોય, વિચાર ના આવે. હું તો ચોપડીઓ વાંચું છું. દાદાશ્રી : તો ચોપડીઓ વાંચવાથી સામાયિક થાય જ. સામાયિક એટલે શું ? કે તમે પોણો કલાક બીજામાં તમારું ધ્યાન હતું, તે આમાં રહ્યું, સ્વાધ્યાયમાં રહ્યું, એ સ્વાધ્યાય સામાયિક કહેવાય. ઉપયોગ બીજી જગ્યાએ કહેવાય. બાકી ખરું સામાયિક તો એક જ ફેરો કરોને, તો આનંદનો પાર ના રહે, બધાં પાપ ભસ્મીભૂત થઈ જાય. મુમુક્ષુ : તો આમાં નિર્જરા ન થાય ? દાદાશ્રી : નિર્જરા થાય પણ થોડી ઘણી થાય. નિર્જરા તો લાંબી ના થાય ને. પુસ્તક વાંચીને તો બધાય સામાયિક કરે. પુસ્તક વાંચવાનું સારું લાગે. પેલું બહારવટિયાની ચોપડીઓ ના વાંચતો હોય ને, આ શાસ્ત્રો વાંચે. શાસ્ત્રોમાંય ઈન્ટરેસ્ટ પડે ને ? તે બહુ આનંદ થાય. પણ કશું વળે નહીં એમાં. સાચું આત્માનું સામાયિક કરો તો વળે. ‘આત્મા’ થઈને એક ફેરો ‘આત્મા’ બોલ્યો એટલે કલ્યાણ થઈ ગયું. આત્મા થઈને બોલવાનું. તમને એમ થઈ જાય કે હું ‘આત્મા’ થઈ ગયો, ત્યાર પછી તમારે બોલવાનું. એક જ મિનિટ જો ‘આત્મા’ થઈ જાવ તો પછી બહુ થઈ રહ્યું. એટલે આ તો સામાયિક કરે ને, તેમાં ધાર્મિક પુસ્તક લઈને બેસે તોય ચાલે પણ એ બધું માનસિક સામાયિક કહેવાય. માનસિક એટલે એમાં આત્માને લેવાદેવા નહીં. એનાથી મન સ્થિર થાય, મન મજબૂત થાય અગર કેટલોક વખત શાસ્ત્ર વાંચે, એટલે બીજા વિચાર ના આવે. સ્વ-સમજણથી સામાયિકમુમુક્ષુ : રોજ સામાયિક કરવાથી શું ફાયદો થાય ? (પા.૫૦૧)દાદાશ્રી : હા. પણ પોતાની સમજણની સામાયિકને ? ભગવાને કહેલી સામાયિક નહીંને ? પોતાની સમજણની સામાયિક. મુમુક્ષુ : અમે ભગવાને કહ્યું છે એ પ્રમાણે જ કરીએ છીએ. દાદાશ્રી : એ શીશી જો જો કરે, પડી કે નહીં પડી ? મુમુક્ષુ : એ તો જુએને, ટાઈમ પૂરો થયો કે નહીં ? દાદાશ્રી : એવું જોવાનું ના હોય. એ તો આપણે જોઈએ ત્યારે શીશી ખલાસ થઈ ગયેલી હોય, ત્યારે જાણવું કે સામાયિક થઈ. સામાયિક મનોબળ વધે એટલા માટે છે. રોજ સામાયિક કરવાથી મનનું બળવાનપણું થાય અને આપણને પોતાની જાત ઉપર શ્રદ્ધા બેસે. મુમુક્ષુ : એનાથી પુણ્ય વધેને ? દાદાશ્રી : હા, પુણ્ય તો વધેને. એક અડતાળીસ મિનિટ તમે મનને પોતાના કુંડાળામાં જ રાખો એટલે પુણ્ય વધે જ. મુમુક્ષુ : પણ મન કુંડાળામાં રહેતું નથી. મન તો કંઈ ફરતું હોય છે. દાદાશ્રી : તો એ સામાયિક પૂરી ના કહેવાય. મન જેટલું આમાં રહે એટલું સામાયિક. આ વ્યવહાર સામાયિક અને ખરું સામાયિક તો હરતાફરતા રહે. એવું સામાયિક વ્યર્થમુમુક્ષુ : અમે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, ક્રિયાઓ બધી જ કરીએ છીએ પણ એમાં ધ્યાન રહેતું નથી. દાદાશ્રી : તો શું કામની એ ? એમાં ધ્યાન ના રહે તો કામનું શું એ ? ધ્યાન રહે તો કામનું ને ના ધ્યાન રહે તો કામનું નહીં. તમારું ધ્યાન શેમાં રહે છે ? મુમુક્ષુ : સંસારમાં જતું રહે છે. (પા.૫૦૨)દાદાશ્રી : સંસારમાં પણ શું ગમે છે ? અહીંથી જતું હોય તો બીજી જગ્યાએ બેસે તો ખરું જ ને પણ ? તમારું મન શેમાં બેસે છે ? મુમુક્ષુ : કામ કરતાં હોઈએ, ઘરમાં કંઈક કામકાજ હોય એમાં જતું રહે. દાદાશ્રી : તો એ કામ કરવું આપણે. જ્યાં ધ્યાન બેસે તે કામ કરવું. જ્યાં ના બેસે એને શું કરવાનું ? મહેનત બધી નકામી જાય ને કશું વળે નહીં. સારી રીતે સંસાર ચલાવે એ જ સામાયિકમુમુક્ષુ : આ રોજ નિશ્ચય લીધો છે કે, રોજ ક્રિયા કરવી, તો પછી એનું શું થાય ? દાદાશ્રી : નકામું જાય. એ બધી મહેનત નકામી જાય. થોડી મહેનત કરો પણ કામમાં લાગે એવી કરો. અને તમે સંસારમાં સારી રીતે રહો ને ! સામાયિક કરો એમાં. સંસારમાં સામાયિક છે. છોકરાંને સારી રીતે મોટાં કરવાં, એને વઢવું નહીં, ઝઘડવું નહીં, એની જોડે ક્રોધ ના કરવો એ બધું સામાયિક જ છેને ! વળી આવી સામાયિક કરવી એ શું કામની ? તમારા છોકરાની જોડે સામાયિક કરો. ધણી જોડે સામાયિક કરો, સાસુ જોડે સામાયિક કરો, જેઠાણી જોડે સામાયિક કરો, એ બધી સામાયિક કરોને ! આ સામાયિક કરીને શું કામ છે તે ? જો મન રહેતું હોય તો સામાયિક કરેલું કામનું. મન રહે નહીં ને સામાયિક કરો તો શું કામનું ? મુમુક્ષુ : પણ આ રોજની ક્રિયા હોય એટલે રોજ ક્રિયા કર્યા જ કરીએને ? દાદાશ્રી : હા. પણ ક્રિયા કરવામાં મહીં મન ના રહેતું હોય તો પછી કરવાની શી જરૂર છે ? ચિત્ત ઠેકાણે રહેવું જોઈએને ? (પા.૫૦૩)મુમુક્ષુ : ચિત્ત નથી રહેતું. દાદાશ્રી : તો શું કરશો ? મુમુક્ષુ : એ તમારી પાસે માંગવા આવ્યા છીએ. દાદાશ્રી : હા. એટલે વહાલું નથી આ ! ગમતું નથી ! છોકરાં ને એ બધું ગમે છે. જેમાં ગમેને ત્યાં ચિત્ત જાય. છોકરાંની કિંમત કાઢી નાખો, ઓછી કરી નાખો ને આની કિંમત વધારી દો તો કંઈ રાગે પડે, નહીં તો શી રીતે રાગે પડે ? સામાયિક કરવી હોય તો પસ્તાવાનું જ સામાયિક કરોને ! શું પસ્તાવાનું ? જેના જેના ખોટા પૈસા લીધા તેનો પસ્તાવો કરો, જ્યાં જ્યાં દ્રષ્ટિ બગાડી હોય તેનો પસ્તાવો કરો. મુમુક્ષુ : તો સામાયિકમાં નવકારવાળી નહીં ગણવાની ? દાદાશ્રી : બળ્યું, નવકારવાળી ગણીને તો આ દશા થઈ છે ! એકુય નવકાર સાચો ગણ્યો નથી. એ કોનું આપેલું હોય તે જોવાનું કે નહીં ? આ છે બધી સ્થૂળ સામાયિકઆર્તધ્યાન-રૌદ્રધ્યાન છે ત્યાં જૈનધર્મ જ નથી. મુમુક્ષુ : સામાયિક કરતા હોઈએ તોય જૈનધર્મ ના કહેવાય ? દાદાશ્રી : તમે સામાયિક કોને કહો છો ? સામાયિકને સામાયિક કહો છો કે અસામાયિકને સામાયિક કહો છો ? મુમુક્ષુ : સામાયિક ને અસામાયિક કોને કહેવાય, એ ફોડ પાડોને. દાદાશ્રી : આ લોકો કયું સામાયિક કરે છે ? આ સાધુ-આચાર્યો બધા સ્થૂળ સામાયિક કરે છે. સ્થૂળ સામાયિક એટલે મનને વ્યગ્રતામાંથી એકાગ્રતામાં લાવે છે. એ કેટલાક પુસ્તક લઈને બેસી રહે, તે પુસ્તકો જ વાંચ વાંચ (પા.૫૦૪)કરે. કેટલાક બીજા વિચારમાં, કેટલાક મંત્રમાં, ગમે તેમાં, પણ સામાયિકમાં રહે. પણ તોય આ પાંસરા રહેતા નથી. ભગવાનેય શી રીતે જમા કરે ? ઘડીવાર, અડતાળીસ મિનિટ પાંસરો રહેતો નથી, તેનું શું થાય ? આ સ્થૂળ સામાયિક તો મજૂરોને રહે છે, બળ્યું ? આ તો આમને વ્યગ્ર થયેલા શેઠિયાઓને ના રહે. સ્થૂળ સામાયિક મજૂરોને રહે પણ એને નકામું જાય. પણ આ તો વ્યગ્રતાવાળાને એકાગ્રતા થાય તે જ કામનું ! જૈન ધર્મનો સાર ‘આ’ છેઆર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જાય, એ આ જૈનધર્મનો સાર છે. મુમુક્ષુ : એ તો અમે પ્રતિક્રમણમાં બોલીએ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન જાય, ધર્મધ્યાન-શુક્લધ્યાન થાય ! એનું પછી મિચ્છામી દુક્કડમ માંગી લઈએ. દાદાશ્રી : હા, પણ કશું દહાડો વળે નહીંને ! એય બોલ બોલ કરવાથી ઓછું થવાય છે ? આર્તધ્યાનનું ફળ જાનવરપણું, રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ. શું થાય તો એમાં ? અને જૈનમાં જન્મ્યા તોય જાનવરપણું થાય ! બળ્યો એ અવતાર ! અન્ય ધર્મોની ક્રિયાઓમુમુક્ષુ : આ જૈનોમાં છે એવી રીતે બીજા ધર્મોમાં આવી પદ્ધતિ છે ખરી ? દાદાશ્રી : એવી બધેય છેને, ત્યાં આગળ સ્થિરતા કરવાનો ગુણ ખરોને ? ત્યાં ભક્તિ કરે, અહીં સામાયિક કરે. પણ આ મનને થોડો વખત સ્થિર કરે બધું. મનને આંતરવું એટલે સામાયિકતમે કયું સામાયિક કહો છો ? (પા.૫૦૫)મુમુક્ષુ : એક કલાક માટે આપણે સામાયિક કરીએ, તો એ ક્રિયામાં આપણે કરવાનું શું ? દાદાશ્રી : આ આટલું જ, આ મનને સ્થિર કરવા માટે બધા બહારના વિચારો ખસેડ ખસેડ કરવાના. એ લૌકિક સામાયિક બધું વ્યવહારમાં ચાલે છે. મુમુક્ષુ : અપાસરામાં જે સાધુ-મુનિઓ કરે છે તે ? દાદાશ્રી : એ બધું માનસિક. એ લૌકિક બધું. એ બધું મનને સ્થિર કરવા માટે. મન સ્થિર રહે નહીંને ! એક કલાક મનને સ્થિર કરેને તો બહુ સારું. તો મનની શક્તિ વધે. અને એટલો અવકાશ રહ્યો. આવતા અવતારમાં અવકાશ રહે એટલે એટલાં કર્મ બંધ થઈ ગયેલાં હોય. મન આંતર્યું, મનને સ્થિર કર્યું, તે બધાનું પુણ્યકર્મ બંધાયેલું હોય. મુમુક્ષુ : એવો કો’ક જ હશે કે જેનું મન કુંડાળામાં રહે. ઉપાશ્રયમાં જાય ત્યાં વ્યાખ્યાન ચાલતું હોય, આ લોકો સામાયિકમાં બેસી ગયા હોય, પણ એમના મન તો બહાર જ હોય, અંદર હોય જ નહીં. દાદાશ્રી : મન વ્યાખ્યાનમાં ના હોય, એ તો ચિત્ત વ્યાખ્યાનમાં હોય. તેય વ્યાખ્યાન ગમતું હોય તો. બાપજીનું વ્યાખ્યાન આપણને ગમે તો ચિત્ત થોડીવાર ત્યાં ઊભું રહે, બહાર ભટકતું મટી જાય. અને મન તો એક બાજુ વિચાર કર્યા જ કરે. એ તો મન વશ થઈ જાય ત્યારે દહાડો વળે. ત્યારે સામાયિક થાય બરાબર, સારું. મુમુક્ષુ : કોઈએ સો નવકારવાળી ગણવાની કહી હોય તો એ ક્યારે સો પૂરી થાય એના ધ્યાનમાં હોય. દાદાશ્રી : હા, ત્યાં ઉતાવળમાં જ હોય. સામાયિકમાંય છે તે પેલી શીશીને જ જોયા કરે ! પછી પૌષધ બોલે, તે પણ શું કરવાનું ત્યાં ઉપાશ્રયમાં રહીને ? બીજી નાતવાળા કહેશે, ‘આપણે બળદને પાણી પાવા જઈએ છીએ, તો પોષો પોષો કહીએ છીએને, તેવું આ પાણી (પા.૫૦૬)પાઈ આવ્યા.’ પૌષધ-વ્રત એટલે આત્માને પોષવાનો. એટલે ઘેરથી ત્યાં ઉપાશ્રયમાં રહીને સાધુ જીવન રહે (જીવે). તે ઘડીએ આત્માને પોષે, પેલો બધો વ્યવહાર બાજુએ મૂકી દેવાનો. આરંભ, સમરંભ, સમારંભઆરંભ શબ્દ બોલે ખરા લોકો, પણ શું સમજે એ લોકો ? બોલે ખરા સમારંભ. પણ સમારંભ એટલે શું ? એય ના સમજે. મોટા મોટા પંડિતોય ના સમજે. કઈ ડિગ્રી સુધી સમારંભ કહેવાય છે ને પછી કઈ ડિગ્રી આરંભ કહેવાય છે, એ ડિગ્રી જાણે નહીં. અને શબ્દ બોલે એટલું જ. શબ્દો શાસ્ત્રોના જ છે. પ્રશ્નકર્તા : કર્મબંધન સમરંભથી પણ થાય ? દાદાશ્રી : સમરંભ એ જ કર્મ. એ પહેલું કર્મ, એ માનસિક કર્મ કહેવાય. સમારંભને મન ને વચન બેનું કર્મ કહેવાય અને આરંભ એ મન-વચન-કાયા ત્રણનું કર્મ કહેવાય. અને આ જ્ઞાન લીધા પછી તમે કોઈને ગાળ દઈ આવો ને એવો આરંભ કરી આવો તોય તમને અડે નહીં, એવું આ વિજ્ઞાન છે. ફક્ત તમારે પેલું ગાળ દીધા બદલ સામાને દુઃખ થયું માટે તમારે, ચંદુભાઈને કહેવું પડે, ‘આ અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.’ આટલું જ આપણે કરવાનું. ‘આપણે’ દુઃખ દેવાનો ભાવ છે જ નહીં. કોઈને દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ એવું બને નહીં, ગમે એવું વિજ્ઞાન આપણી પાસે હોય તોય. પ્રશ્નકર્તા : સમરંભથી કર્મબંધન થાય તે ઓછું હોય કે ત્રણેવનું ભેગું થાય ત્યારે વધારે હોય ? દાદાશ્રી : સમરંભ જ ઓછું કહેવાયને. સમરંભ એટલે મનથી જ એકલું. ભેગું થાય ત્યારે બહુ મોટું કર્મ કહેવાય. તેથી આરંભ કહ્યુંને ભગવાને. પ્રશ્નકર્તા : મનથી કર્મ કરીને પછી ત્યાંથી અટકી ગયો તો એ બહુ બંધનમાં ના પડે ? (પા.૫૦૭)દાદાશ્રી : બહુ રહે નહીં. પછી ખાલી વિચારે કરીને છૂટી જાય. ખાલી વિચારવાથી છૂટી જાય. પ્રશ્નકર્તા : એ આરંભ પરિગ્રહની શાસ્ત્રમાં મર્યાદા બાંધવાની કહી છે, તો એ બાંધે તો શું ફરક પડે અને ના બાંધે તો શું ફરક પડે ? દાદાશ્રી : બાંધે તો આ કર્મ ઓછું આવે. આ ભવમાં બાંધે તો આવતા ભવમાં કર્મ ઓછું આવે. એમ કરતાં કરતાં બાંધતાં બાંધતાં ઓછું કરતાં કરતાં ઉપર ચઢ્યા કરે. પ્રશ્નકર્તા : એ પેલું સામાયિક જેવું ? દાદાશ્રી : સામાયિક એટલે આરંભ રહિત. એક કલાક, આરંભ પરિગ્રહથી રહિત થવું એ સામાયિક. એવું સામાયિક કોણ કરે ?મુમુક્ષુ : સામાયિક કરતો હોય ને ધરતીકંપ થયો તો પણ સામાયિક ના છોડવી જોઈએને ? દાદાશ્રી : એવી સામાયિક કોણ કરે છે ? એવી સામાયિક કોઈ કરે નહીંને ? એટલે એ સામાયિક એ સાધારણ પ્રયોગ છે, દેહને સ્થિર કરવાનો. દેહ સ્થિર રહે તો સંસારમાં હિતકારી થાય, લક્ષ્મી ને બધું વધારે આવે. જેને ઘડીવાર દેહ જ સ્થિર ના રહે, તેને લક્ષ્મી શી રીતે આવે ? એટલે એ સામાયિક એ સાચું સામાયિક નથી. સાચા પુરુષના સિક્કા વિનાની સામાયિકઆ અત્યારે જે આને ‘આત્મા’ માની બેઠા છે ને, એ તો ‘મિકેનિકલ આત્મા’ છે. એ કોઈ દહાડો સાચો આત્મા નથી. અને એને જ સ્થિર કરવા માંગે છે. અલ્યા, આ તો ‘મિકેનિકલ’ છે, કોઈ દહાડો સ્થિર થાય જ નહીં. (પા.૫૦૮)મુમુક્ષુ : આ ના સમજાયું. દાદાશ્રી : આ જે ‘વ્યવહાર આત્મા’ છે ને, એ ‘મિકેનિકલ આત્મા’ છે. એને સ્થિર નથી કરવાનો. એ તો ખાલી અભ્યાસ જ કરવાનો છે કે મન સ્થિર રહે છે કે નહીં, એટલે જોવાનું જ છે. એ મનને સ્થિર કરવા માટે આ સામાયિક કરીએ કે ઘડીવાર આ દેહ તો પાંસરો રહે, ઘડીવાર મન પાંસરું રહે. સાધારણ એને સ્થિરતા રાખવા માટે જ. જેમ બહુ થાકેલો માણસ થાક ખાવા બેસે તેથી કાંઈ કાયમ બેસી રહે ? મુમુક્ષુ : ના. દાદાશ્રી : એવું છે આ. આ સામાયિક એ તો થાક જેવું છે. બાકી આ તો મશીનરી રાત-દહાડો ચાલુ જ હોય અને આ નિરંતર સામાયિકમાં રહે છે. એક ક્ષણ સામાયિકની બહાર નહીં. આ સંસારમાં ઘેર બેઠા, બૈરાં-છોકરાં વચ્ચે રહીને નિરંતર સામાયિકમાં રહે છે. અને ‘આત્મા’ એ જ સામાયિક છે. બીજું બધું આ સામાયિક, ‘વ્યવહાર સામાયિક’ છે. સાચું સામાયિક પ્રાપ્ત કરવાના હેતુ માટે આ ‘વ્યવહારિક સામાયિક’ કરવાનું છે. એ વ્યવહારિક સામાયિકેય સાચા પુરુષનું આપેલું હોવું જોઈએ. મુમુક્ષુ : સાચા પુરુષની વ્યાખ્યા શું ? દાદાશ્રી : સાચા પુરુષ એટલે, આ થાણા જિલ્લાના કલેક્ટરે તમને કંઈક ઓર્ડર લખી આપ્યો હોય, કે આટલી જમીન તમને સુપ્રત કરવામાં આવે છે. હવે એ તો ખરેખર કલેક્ટર તો છે જ, પણ કલેક્ટર ના હોય ને તેની પાસે લખેલો ઓર્ડર હોય તો ? નીચે કલેક્ટર લખીને સિક્કો મારેલો હોય અને કલેક્ટર ના હોય તો ? ત્યાં ચાલે નહીં, આગળ ચાલે નહીં. એવી રીતે આ જે કલેક્ટરો બધા સામાયિક લખી આપે છે ને, તે સાચા પુરુષો નથી. (પા.૫૦૯)સામાયિકમાં ફૂટ્યાં કપ કે આત્મા ?હું છે તે ટેબલ ઉપર ચા પીતો’તો અને શેઠ પંચોતેર વર્ષના, સામાયિક કરતા’તા. પેલા રૂમમાં પ્યાલા ફૂટ્યા, તે શેઠને સંભળાયું. હું તો બહેરો (કાને ઓછું સંભળાય). મને ના સંભળાયું. અને શેઠ તો સરવા કાનવાળા. સંભળાયું તે સામાયિક કરતાં કરતાં શેઠ કહે છે, ‘શું ફૂટ્યું ?’ મેં કહ્યું, ‘તમારો આત્મા ફૂટ્યો.’ આમાં બીજું શું ફૂટવાનું હતું ? નહીં તો સ્ત્રી પડે તો અવાજ થાય ? બીજું કંઈ ફૂટવાનું નથી. આ પ્યાલા જ ફૂટ્યા છે. એનો અવાજ થયો છે. તે સામાયિક કરતાં કરતાં શેઠ કહે છે, ‘શું ફૂટ્યું ?’ તે આ તે સામાયિક શી રીતે કહેવાય ? તે ઘડીએ તો સ્ત્રી મરતી હોય, ધણી મરતો હોય તોય સામાયિક ના છોડે, એનું નામ સામાયિક કહેવાય. આને સામાયિક કેમ કહેવાય ? પ્યાલા ફૂટી ગયા, તેમાં તેની કાણ ને મોંકાણ ? હજુ એવું ખરું બધે ? પ્રશ્નકર્તા : ખરું. દાદાશ્રી : એમ ? અને તે પ્યાલા પછી જીવતા થઈ જતા હશે ? કેમ ? આપણે સામાયિક છોડ્યું તો ? સ્થૂળ કર્મ અને સૂક્ષ્મ કર્મઆચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે, પણ મહીં શું છે એ જોવાનું છે. મહીં જે ‘ચાર્જ’ થાય છે તે ત્યાં કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે એ ‘ડિસ્ચાર્જ’ છે. આખો બાહ્યાચાર જ ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે, ‘મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું. તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારી આવી પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતા હોય ને મહીં શુંય કરતો હોય ! એક (પા.૫૧૦)શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પૂછ્યું, ‘શેઠ ક્યાં ગયા છે ?’ ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, ‘ઉકરડે’ ! શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઉકરડે જ ગયેલા હતા ! અંદર મનમાં તો ખરાબ વિચારો જ ચાલતા હતા ને બહાર સામાયિક કરતા હતા. ભગવાન આવાં પોલને ચાલવા ના દે. અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ‘ત્યાં’ ચાલે. આ બહારના ઠઠારા ‘ત્યાં’ ચાલે એવા નથી. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય તે સામાયિક મહાવીરનીભગવાને સામાયિક કોને કહ્યું ? જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને આખોય દહાડો સામાયિક છે, એમ કહ્યું છે. મહાવીર ભગવાન કેટલા ડાહ્યા છે ! તમને કશી જ મહેનત કરવાની ના રાખે. અને આ લોકોનું એકુય સામાયિક ભગવાન ‘એક્સેપ્ટ’ ના કરે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એક ગુંઠાણા માટે, અડતાલીસ મિનિટ માટે બંધ થવાં જોઈએ ને ? ‘હું ચંદુભાઈ છું’ કરીને સામાયિક કરે, જેમ આ લીમડાને કાપી નાખીએ તોય ફરી ફૂટે, તો તે કડવો જ રહે ને ? કેમ કાપ્યા પછી મહીં ખાંડ નાખીએ તોય કડવો રહે ? મુમુક્ષુ : હા, મૂળમાં જ એમ છે, દાદા. દાદાશ્રી : મૂળ સ્વભાવમાં જ છે એમ. તેમ આ ‘ચંદુભાઈ’ બધા રાગ-દ્વેષ બંધ કરીને સામાયિકમાં બેઠા, તો તે શેની સામાયિક કરે ? નથી આત્મા જાણ્યો, નથી મિથ્યાત્વ સમજતા ! જે મિથ્યાત્વ સમજે તેને સમકિત થયા વગર રહે જ નહીં. એટલે સામાયિક કરવા શેઠ બેઠા હોય, પણ એમને બીજું કશું આવડતું નથી. એટલે એ શું કરે ? પોતાનું એક કૂંડાળું વાળેલું હોય અને બીજા કોઈ વિચાર આવે, દુકાનના, લક્ષ્મીના, વિષયના તો તેને કુંડાળાની બહાર હાંક હાંક કરે. જેમ એક કુંડાળામાં ગાયનાં વાછરડાં પેસી જતાં હોય, કૂતરાં પેસી (પા.૫૧૧)જતાં હોય તેને હાંક હાંક કરે અને કુંડાળામાં પેસવા ના દે તેને સામાયિક કહે છે. તોય તે સામાયિક થાય, કારણ કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તેમાં ના થાય. મુમુક્ષુ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં ના હોય તો પછી સમતા જ કહેવાય ને ? દાદાશ્રી : પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં, એ તો હોય જ. એના માટે સામાયિક કરતાં પહેલાં પહેલો નિયમ કરવો પડે. ‘હે દાદા ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છે. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગભાવ આપો.’ આમ વિધિપૂર્વક કરે તો કામ થાય. મોક્ષ આપે, સાચું સામાયિકમુમુક્ષુ : સામાયિક, પ્રતિક્રમણ એ બધું ધર્મધ્યાન કરવાથી મોક્ષનો માર્ગ મળે ? દાદાશ્રી : મળે, પણ અત્યારે જે ચાલે છે એ સામાયિક ને પ્રતિક્રમણથી ના મળે. આ તો સાચો માલ ન હોય. સાચું સામાયિક હોય તો એક જ સામાયિક કરે તો મોક્ષ થાય. અત્યારે એમાં કોઈનો દોષ નથી. આ કાળનો સ્વભાવ એવો છે. મુમુક્ષુ : આપણે ખોટું સામાયિક કરીએ છીએ તે ખબર કેમ પડે ? આપણે તો સાચું કરીએ છીએ એ આશયથી જ કરતા હોઈએને ? દાદાશ્રી : આત્મા ઓળખ્યા પછી સાચું સામાયિક થાય. ત્યાં સુધી સાચું સામાયિક થાય નહીં. ત્યાં સુધી મન સ્થિર કરવાનું સાધન ખરું. દેહને સ્થિર કરવાનું સાધન. એ બધા લૌકિક સામાયિક ! અને આ (અહીં) અલૌકિક સામાયિક, ‘વ્યવહાર આત્મા’ને સ્થિર કરવા માટેનું છે. આપણે અહીં જ્ઞાન આપ્યા પછી ‘વ્યવહાર આત્મા’ને સ્થિર કરી શકાય ને ! જાણ્યા વગર શી રીતે બને ? આપણે અહીં જ્ઞાન આપ્યા પછી, એ ‘વ્યવહાર આત્મા’ને સ્થિર કર્યા કરે. અહીં આગળ (પા.૫૧૨)જાગૃતિ બહુ હોય ને ત્યાં જાગૃતિ જ ના હોય. સામાયિકનો કર્તા કોણ ?કોઈ એક ભાઈ હોય તે સામાયિક કરતા હોય તો બીજા લોકોને શું કહે કે, ‘હું રોજ ચાર સામાયિક કરું છું, આ બીજા ભાઈ તો એક જ સામાયિક કરે છે.’ એટલે આપણે સમજીએ કે એ ભાઈને સામાયિક કરવાનો ઇગોઈઝમ (અહંકાર) છે, એટલે બીજાનો દોષ કાઢે છે કે, ‘એ એક જ કરે છે અને હું ચાર કરું છું.’ પછી આપણે બે-ચાર દહાડા પછી જઈએ કે ‘ભાઈ, કેમ આજે સામાયિક નથી કરતા ?’ ત્યારે કહેશે કે, ‘પગ ઝલાઈ ગયા છે.’ તે આપણે પૂછીએ કે, ‘ભાઈ, પગ સામાયિક કરતા હતા કે તમે કરતા હતા ? પગ જો સામાયિક કરતા હોય તો તમે બોલતા હતા તે ખોટું બોલ્યા.’ એટલે આ પગ પાંસરા જોઈએ, મન પાંસરું જોઈએ, બુદ્ધિ પાંસરી જોઈએ, બધા સંજોગ પાંસરા હોય ત્યારે સામાયિક થાય અને અહંકારેય પાંસરો જોઈએ. અહંકારેય તે ઘડીએ પાંસરો ના હોય તો કાર્ય ના થાય. એટલે આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. તેમાં તમે એકલા શું કરવા માથે લો છો ? એટલે આ પરસત્તાએ કર્યું એમાં તમારું શું ? એવું માથે લે કે ના લે ? પણ આ તો ‘અહંકાર’ કર્યા કરે છે ખાલી. કરે છે આ બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ પણ ‘પોતે’ કહે છે ‘હું કરું છું’ તે ગર્વરસ અને ગર્વરસ ચાખવાની ટેવ છેને, ત્યાં સુધી આ સંસાર ઊભો કરે છે. વાત તો સમજવી પડશેને ? એમને એમ કંઈ ગપ્પું ચાલે કંઈ ? હવે તેથી આ લોકોએ કહ્યું છે કે ‘યહી ગલે મેં ફાંસી.’ આ સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, આ મેં ત્યાગ્યું એ બોલ્યા એ તમારા ગળામાં ફાંસી છે, તેં ગર્વરસ ચાખ્યો તેની. સામાયિક, પુણિયા શ્રાવકનુંપ્રશ્નકર્તા : પુણિયા શ્રાવકનું સામાયિક કેવું હતું ? (પા.૫૧૩)દાદાશ્રી : આપણે આ સામાયિક કરીએ છીએ તેવું સામાયિક. ક્રમિક માર્ગમાં ત્યાં સુધી લઈ ગયેલો એ. શ્રેણિક રાજાને નર્કે જવાનું થયું ત્યારે ભગવાને બધા ઉપાય બતાવ્યા. ભગવાનને કહે છે નર્ક ટળે એવા ઉપાય બતાવો. ભગવાન તમે મને મળ્યા ને મારે નર્કે જવાનું થાય ? ત્યારે કહે, ‘ભઈ, એમાં કોઈ શું કરે ? એમાં કંઈ ચાલે નહીં, એ તો આયુષ્ય બંધાઈ ગયું, તે બંધાઈ ગયું, એમાં ના ચાલે !’ તોય કહે છે, કંઈ ઉપાય બતાવો. તે ચાર ઉપાય બતાવ્યા કે ગમે તે એક લાવશો તો તમારે નર્કે નહીં જવું પડે. તેમાં ત્રણ ઉપાય ફેઈલ ગયા. ત્યાર પછી આ પુણિયા શ્રાવકનું સામાયિક આવ્યું. ત્યારે કહે છે, એ તો હું પુણિયા શ્રાવક પાસેથી લઈ આવું છું. શ્રેણિક રાજા પુણિયા શ્રાવક પાસે ગયા. કહે છે, ‘તું મને સામાયિક આપ. તું મારા રાજમાં રહે છે, તું એની જે કિંમત માગીશ તે આપી દેશું. સામાયિક એટલે અડતાળીસ મિનિટનું તારું જે ફળ હોય તે મને એટલું આપી દે, અને તું મને કહે કે ‘મેં તમને આપ્યું, અર્પણ કર્યું’, એટલું બોલ. ત્યારે પેલો કહે છે, ‘સાહેબ, ના અપાય. આ આપવા જેવી ચીજ ન હોય.’ ત્યારે રાજા કહે છે ‘કેમ ના અપાય. ના, આપવું પડશે તારે. ના શબ્દ જ, બોલીશ નહીં !’ ત્યારે કહે, ‘એ અપાય નહીં, ભગવાન કહે તો અપાય.’ ત્યારે રાજા કહે, ‘ભગવાને કહ્યું છે કે પુણિયા શ્રાવકનું સામાયિક તમારે લેવાનું છે. તારે શું કિંમત લેવાની છે ?’ તે પેલો બહુ દબાઈ ગયો ને એટલે પછી કહે છે, ‘સારું, જો ભગવાને કહ્યું હોય તો આપીશ.’ એ જાણે કે કંઈ હાથોહાથ પ્રોમિસ કરવાનું હશે. ‘બોલ, શું કિંમત લેવી છે તારે ?’ પેલો રાજા એટલે માથે ઉપકાર ચઢે એવું ના જ કરે ને ? એટલે રાજા કહે છે, ‘શું કિંમત લેવાની ?’ ત્યારે પુણિયો કહે, ‘એ તો ભગવાન જે કહેશે એ કિંમત લઈશ.’ એટલે પછી આમને નક્કી થયું કે હવે આણે આપવાની હા પાડી છે, સોદો કરી નાખ્યો પછી એમાં વાંધો શું છે ? એટલે પછી રાજાએ અહીં આવી ભગવાનને કહી દીધું. ભગવાનને કહે છે, ‘શુકન બહુ (પા.૫૧૪)સારા થયા આજે.’ ત્યારે ભગવાન કહે, ‘શા શુકન થયા ?’ ત્યારે રાજા કહે, ‘પેલાએ સામાયિક આપવાની હા પાડી છે, રાજીખુશીથી હા પાડી છે. હવે નર્કગતિમાં નહીં જવું પડેને ?’ ત્યારે ભગવાન કહે છે, ‘શું આપવા-લેવાનું નક્કી કર્યું ?’ એટલે રાજા જાણે કે ‘ઓહો ! પાંચ-દસ લાખ અપાવી દેશે, બીજું શું કરશે ? એક અડતાળીસ મિનિટના ! હવે મારી નર્કગતિ નહીં થાય ને ?’ ત્યારે ભગવાન કહે, ‘તો તો નહીં થાય, પણ તને કોણે કહ્યું ? તને કેવી રીતે આપી ?’ ત્યારે રાજા કહે, ‘એણે તો તમારા ઉપર જ છોડ્યું છે. હવે તમે જે કિંમત કહો તે આપી દઉં.’ ત્યારે ભગવાન કહે, ‘મારી પર છોડ્યું છે ? એની કિંમત તો હું જાણું જ ને ? ને મારાથી આડુંઅવળું કેમ કરીને બોલાય ?’ ત્યારે રાજા કહે છે કે ‘જે કિંમત હોય તે મને કહી દો, હમણે જ આપી દઉં.’ ત્યારે ભગવાન કહે છે, ‘જો હું તમને સમજ પાડું, એની કિંમત કેટલી થાય તે જાણો છો ? તારું રાજ એની દલાલીમાં જાય. ત્રણ ટકા દલાલીમાં જાય એટલી કિંમત છે. તે રકમ તો બાકી રહે છે. તે ક્યાંથી લાવીને આપીશ ?’ એટલે રાજા કહે, ‘મારું રાજ દલાલીમાં જાય ? તો બીજી મૂડી ક્યાંથી હું લાવીને આપું ? આ તો મારી નર્કગતિ અટકે જ નહીં ને ?’ ત્યારે ભગવાન કહે, ‘એ સામાયિકની એટલી બધી કિંમત છે, તારાથી પેમેન્ટ ના થાય !’ એટલે પોતે જ ના કહી દીધું કે ‘ના સાહેબ, મારાથી ના ચૂકવાય. એટલે એમણે પ્રયત્ન બંધ રાખ્યો અને નર્કમાં ગયા નિરાંતે, અને (આવતી ચોવીસીના) પહેલા તીર્થંકર થઈને ઊભા રહેશે, ‘પદ્મનાભ’ નામના ! હવે એવું સામાયિક તમને રોજ કરાવડાવીએ છીએ. પણ લોકોને કશું નહીં, પાન ખાઈને પાછું થૂંકી નાખે ! પ્રશ્નકર્તા : પેલા આદિવાસીને હીરો આપ્યો હોય તો કાચ જ સમજે ને ? દાદાશ્રી : હા, એવું જ. બાળકના હાથમાં રતન આપ્યા જેવું થયું છે છતાંય કોઈ દહાડો ગાડું હેંડશે. બાળક પછી મોટાં થતાં જાય ને એક-બે ફેરા કોઈ લઈ લે પણ પછી પાછો ‘દાદા’ પાસેથી લઈને ફરી ના આપે. એક ફેરો ઠપકો આપ્યો હોય, છેતરાઈશ નહીં. હવે ના આપી (પા.૫૧૫)દે, નહીં ? અને તે ઘડીએ આનંદય એવો હોય. એવું સામાયિક થાય ને પુણિયા શ્રાવકનું, તો આનંદેય તેવો હોય. તે ઘડીએ ભલે સ્પંદન થતાં હોય, સ્પંદન દેહનાં બધાં ચાલુ રહે. પણ સામાયિકમાં આનંદ આવેને, એ આ સ્પંદન નથી થતાં એટલે આવે છે. કાયોત્સર્ગ સહિતભગવાને સામાયિક કેવું કહેલું કે આ દેહ ને એ બધું મારું નથી, એવી રીતે સામાયિક કહ્યું હતું. સામાયિક તો કાયોત્સર્ગપૂર્વક હોય. આપણું આ જ્ઞાન લીધેલું હોય તે સામાયિક કાયોત્સર્ગપૂર્વક કરે. કાયઉત્સર્ગપૂર્વક ! એ બહુ જ કિંમતી. હવે એ કાયોત્સર્ગ કેવી રીતે કરતા ? આ જે મોટા મોટા માણસો, ગણધરો બધા કાયોત્સર્ગ કરતાં. તે આમ ઊભા રહે, થાંભલા જેવું, પછી પહેલું નક્કી કરે, હું પગ નહીં, પેટ નહીં, છાતી નહીં, માથું નહીં, ફલાણું નહીં, તે ઉત્સર્ગ કરે અને પછી મહીં નક્કી કરે કે હું શુદ્ધાત્મા છું. કેવો ? ત્યારે કહે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ એવા પાંચ-છ ગુણધર્મ જાણતો હોય. શાસ્ત્રના શબ્દના આધારે તે શબ્દો વાગોળ વાગોળ કર્યા કરે. પહેલું ઉત્સર્ગ કરી નાખે. કાયોત્સર્ગ એને ભગવાને છેલ્લામાં છેલ્લો ઉપચાર કહ્યો. આ મન-વચન-કાયા હું નહીં, હું શુદ્ધાત્મા છું, એવું એ ધ્યાનમાં રહેવું એનું નામ કાઉસગ્ગ. હવે એ કાઉસગ્ગ લોકો સમજતા નથી. કાયઉત્સર્ગ આપણે આ બોલાવ્યુંને, હમણે આ જ્ઞાનવિધિ બોલતા’તા ને, તે ઘડીએ કાયોત્સર્ગ જ હતું. ‘મન-વચન-કાયાથી ભિન્ન હું પ્રગટ શુદ્ધાત્મા છું’, એવું બોલાવ્યું એ બધું કાયોત્સર્ગ જ હતું. જ્ઞાનવિધિ એ આત્માનું સામાયિકસામાયિક એટલે મેં તમને જે આ જ્ઞાનવિધિ કરાવીને એક કલાક, એ સામાયિક કહેવાય. અધ્યાત્મ સંબંધમાં એક જ ધ્યાનમાં રહેવું (પા.૫૧૬)એનું નામ સામાયિક. એ સામાયિક મનુષ્યથી પૂરેપૂરું સરસ થઈ શકે નહીં. એને માટે જ્ઞાનીપુરુષ પાપ ધોઈ આપે અને પાપ ના ધોવાય ત્યાં સુધી કશું વળે નહીં. અમે ફરી ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે તમને શું કહીએ છીએ કે ફરી બેસજો. આ સામાયિક ફરી ફરી નહીં થાય. માટે નવરા પડ્યા હોય તો બેસજો. ના નવરા પડ્યા હોય તો ધંધો (બંધ) કરીને પણ અહીં આવજો. અક્રમમાં નિરંતર સામાયિકપ્રશ્નકર્તા : આપણા અક્રમ માર્ગમાં સામાયિકની મહત્તા શું ? દાદાશ્રી : આપણને આખો દહાડો સામાયિક જ હોય છે, સામાયિકથી વધારે હોય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એનું લક્ષ, એનું નામ સામાયિક. તે પાછું સાચું સામાયિક. આ સામાયિક આખો દિવસ રહે. ‘હું શુદ્ધાત્મા છું’ જેને એક કલાક રહ્યું એ જ સામાયિક. સમભાવે નિકાલ કરવું એ સામાયિક, રિલેટિવ અને રીયલ જોયું એય સામાયિક. આપણાં પાંચ વાક્યો (આજ્ઞા) એ સામાયિક સ્વરૂપ જ છે ! પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં તો પુણિયા શ્રાવકનું સામાયિક ઊંચામાં ઊંચું ? દાદાશ્રી : હા, એ તો આ તમારું જ સામાયિક ! આ તમે સવારમાં નીકળો અને આ આંખે ગાય દેખાય અને પેલી અંદરની આંખે શુદ્ધાત્મા દેખાય, એ જ સામાયિક પુણિયા શ્રાવકનું હતું. તેથી હું તમને કહું છું ને, પુણિયા શ્રાવકનું સામાયિક તમને આપ્યું છે, પ્યૉર સામાયિક. હવે તમને ભોગવતાં આવડ્યું તો ભોગવો. તે એવું સામાયિક આ કાળમાં થાય એવું છે. લાભ ના થાય તો ભૂલ છેને ! એક કલાક રિલેટિવ ને રીયલ બેનું જોતાં જોતાં જોતાં એનો ઉપયોગ રાખે બરાબર, એને ભગવાને શુદ્ધ ઉપયોગ કહ્યો. એ શુદ્ધ (પા.૫૧૭)ઉપયોગ જો એક ગુંઠાણું રહેને તો પુણિયા શ્રાવકનું સામાયિક થાય એવું છે. તમે કરી શકી તો અવશ્ય લાભ ઉઠાવો. મહીં મન ગમે તે સળી કરે, તોય કહીએ કે તમે હમણે બેસો, એક કલાક પછી આવો, જે કંઈ આવવું હોય તે આવો. મહીં પાછા આવનાર હોયને, બૂમો પાડનાર હોય, એમને કહીએ, ચૂપ, હમણે એક કલાક બંધ છે. અમારું સામાયિક ચાલે છે. હમણે આવશો નહીં. અંદર હોમ ડિપાર્ટમેન્ટમાં કોઈને પેસવાનો અધિકાર નથી. ફોરેનમાં રહો. અમે કલાક પછી બહાર નીકળીએ ત્યારે પછી. એટલે બંધ થઈ જાય, એની મેળે. આપણે ઓર્ડર કરીએ એ પ્રમાણે વર્તે. કારણ કે એ બધી વસ્તુઓ નિર્જીવ છે પણ સચેતન થયેલી છે, સચેતન ભાવને પામેલી છે. એટલે આ પુણિયા શ્રાવકની સામાયિક કલાક કરજો, બધું ખંખેરીને જતું રહેશે ! જગત વિસ્મૃત કરાવે તે સામાયિકસામાયિકનો અર્થ શું ? જગત વિસ્મૃત કરાવડાવે. આ બહારવટિયાની વાત હોય તોય જગત વિસ્મૃત કરાવડાવે. તમે ઘેર ગયા હોય, તે જમવાની થોડી વાર હોય, પાંચ મિનિટ, તો તમે અકળાયા કરતા હોય. પછી પેલી ચોપડી ઝાલી પછી પેલા કહેશે, ‘હેંડો, જમવા.’ તે ઊઠે નહીં પાછો. અલ્યા, કેમ આમ ? ત્યારે કહે, પેલી ચોપડીમાં એકાગ્ર થઈ ગયો. કારણ કે માણસને ઉતારનારા જે સંસ્કારો છે, એ જલદી એકાગ્ર કરે. તે સંપૂર્ણ એકાગ્ર થાય, તે ઊઠે નહીં પછી. હવે તે ઘડીએય જગત વિસ્મૃત થાય, પણ એ અધોગતિમાં લઈ જનારું. એ આપણું જ ધન વટાવીને માર ખવડાવે છે. અને જે ઊર્ધ્વગામી સામાયિક એમાં જરા વાર લાગે. જગત વિસ્મૃત થતાં વાર લાગે. દાદા સ્મૃતિમાં તો વિશ્વ વિસ્મૃતિમાંઆ બધાને દાદા યાદ રહેતા હશે આખો દહાડો ? અને દાદા યાદ રહે એટલે શું થાય ? કે જગત વિસ્મૃત થયું. એક યાદ હોય. કાં (પા.૫૧૮)તો જગત યાદ હોય તો દાદા યાદ ના હોય અને દાદા યાદ હોય તો જગત વિસ્મૃત થાય. જગતની વિસ્મૃતિ થઈ ત્યાંથી કર્મો ઓછાં લાગે. તે લોકોને તો સામાયિકમાંય જગત વિસ્મૃત થતું નથી. જગત વિસ્મૃત કરવા માટે જ કૃપાળુદેવ કહેતા’તા. એક કલાક જો જગત વિસ્મૃત થઈ જાય તો એની તુલના જ બહુ મોટી લખી છે એમણે. મનમાં એવું હોય તે શું થાય ? મનમાં એવું હોય પણ આત્માથી જુદો છે. એ શેઠનેય ખબર પડે કે આ સામાયિક કરું છું ને મન ઉકરડે ગયું છે. તે કોને ખબર પડે ? એને પેલું મીઠાશ વર્તે છે એટલે ત્યાં પાછો દોડે છે. મીઠાશ વર્તે છે, ત્યાં જઈને ઉઘરાણી કરવા માંડે ! ઉઘરાણી શરૂ કરી દે !! અને અત્યારે મારી હાજરીમાં બધું ભૂલી ગયા છો કે નથી ભૂલી ગયા ? એ સામાયિક કહેવાય. અહીં સંસારની વાત છે નહીં બિલકુલેય. અહીં આત્મા ને પરમાત્માની બે જ વાત છે. તે બધું ભૂલી ગયાને, તે આ મોટામાં મોટું સામાયિક. બીજું કશું ના આવડે તોય અહીં આવીને બેસી રહેજો ને થોડીવાર, કલાકેય બેસીને હેંડતા થાવને ! જુઓ, નર્યાં પાપો ધોવાઈ જશે. ભસ્મીભૂત થઈ જશે પાપો બધાં. આ સામાયિકમાં પાપો ભસ્મીભૂત થઈ જાય. જ્ઞાનીપુરુષની અજાયબી કહેવાય ! સમભાવે નિકાલ કરો એ સામાયિકજૈનોની સામાયિક એટલે શું ? સમતાભાવ કેળવે. હવે સમભાવે નિકાલ કરવાની તમે આજ્ઞા પાળો, એનું નામ જ સામાયિક. સમભાવે રહેવું એનું નામ જ સામાયિક અને વિષમભાવે રહેવું એનું નામ જ સંસાર અને આ દુનિયાની વ્યવહારિક સામાયિક એટલે શું ? અડતાળીસ મિનિટ સુધી બીજા વિચારમાં ન આવવું, એક જ વિચારમાં, બસ એ સામાયિક. આત્મા એકલાના જ વિચાર હોય અને ભૌતિકનો કોઈ વિચાર આવે નહીં તો એ શુદ્ધ સામાયિક કહેવાય. અડતાળીસ મિનિટ સુધી, (પા.૫૧૯)એથી વધારે મિનિટ થાય નહીં. કોઈથીય થાય નહીં. સામાયિકની યથાર્થ વ્યાખ્યાપ્રશ્નકર્તા : સામાયિક શબ્દનો ભાવાર્થ જરા બરાબર સમજાવો. દાદાશ્રી : સામાયિક એટલે એકાગ્રતા નહીં, પણ પેણે દસ પ્યાલા પડી ગયાનું આમ જાણવામાં આવ્યું તોય મહીં સમતા રાખે, ત્રાજવાનું પલ્લું નમે નહીં એકુય બાજુ, એનું નામ સામાયિક. સામાયિક એટલે ત્રાજવાનું પલ્લું એક્ઝેક્ટ ! સામાયિક એટલે બીજું બધું જે આવતું હોયને, તેને કાઢ કાઢ કરે, ધક્કા માર માર કરે, એટલે કોણ રહ્યું ? પોતે એકલો આવાં સામાયિક કરે છે ! પેલું સામાયિક તો એને ફાવે જ નહીંને ! સમતા તો રહે જ નહીંને ! એણે નક્કી કર્યું હોય કે આજ દુકાન યાદ નથી કરવી તો આંખ મીંચતાની સાથે જ ધબડકો પહેલો જ એ પડે. અને આપણે કહીએ, ‘દુકાન-બુકાન બધા તમે આવો. બધા મને સામાયિકમાં આવીને હેરાન કરો.’ તો બધાય નાસી જશે. એ બધા જાણે કે આ શું કર્યું, કંઈ દવા-બવા લાવ્યા હશે. ફટાકડા ફોડે એ ત્યારે શું કરીએ ? એમાં ભડકો શું કરે છે ? ‘દુકાન યાદ ના આવજે.’ ‘આવને તું, હું બેઠો છું.’ ‘હે ભગવાન, હે પ્રભુ, દુકાન યાદ ના આવે.’ મેર મૂઆ, કઈ જાતનો ચક્કર છું તું ? દુકાન નહીં યાદ આવે તો વહુ યાદ આવશે પણ આવશેને. એય દુકાન જ છેને ! વહુ દુકાન નહીં ? પ્રશ્નકર્તા : મોટી દુકાન ! દાદાશ્રી : પાછા આ વહુને મોટી દુકાન કહે છે ! સામાયિકનો ખરો અર્થ એ છે કે, વિષમભાવ ન થવા દે, કોઈપણ કારણસર ! સમ ન રહે, પણ વિષમ ન થવા દો, એનું નામ સામાયિક. ત્યાં આગળ છોકરો એની માને ગાળો ભાંડતો હોય, આ (પા.૫૨૦)પોતે સાંભળે છતાં વિષમભાવ થાય નહીં. પેલો ઉછાળો તો રહે પણ એને સમ કરી નાખે, જેમ આ તોલતી વખતે જરાક પેલામાં એ થયું તો પાછા આમાં નાખો, પાછું આ ઊંચું ગયું તો આમ નાખ્યું પણ રાગે પાડી દે. દેડકાની પાંચશેરી જેવું ના હોય. વિષમતા ન થવા દે તેસવારના પહોરમાં ઊઠીને શાક લેવા જતાં હોય તો શુદ્ધાત્મા જોતા જોતા જાવ તો કોઈ વઢે ખરું ? હેં ? ગધેડું કહેશે, કેમ મારામાં શુદ્ધાત્મા જોયા ? એવું કહે ? માટે સમતા, વિષમતા નહીં. પલ્લામાં ખૂટ્યું કે તરત આ બાજુ નાખે. દેડકાંની પાંચશેરીઓ બાંધીએ ત્યારે મુશ્કેલી ઊભી થાય ને ! ત્યાં સમતા ના રહે. એવું છેને, આ બાજુ પાંચશેરી મૂકી હોય અને પાંચ શેરનું દસ શેર કરવું હોય તો બીજી બાજુ પાંચ શેર બીજી વસ્તુ મૂકવી પડે. પથ્થર કે ઢેખાળા બીજું કંઈ પણ મૂકવું પડે અગર તો ઘઉં હોય તોય ચાલે. એટલું પાંચ શેર તોલ્યા પછી આમાં પાછી પાંચ શેર મૂકીએ એટલે પછી ફરી દસ શેર તોલી શકાય. પાંચશેરી બાંધવા માટે શું કરે ? એક બાજુ આ પાંચ શેર મૂકે અને એક બાજુ કશુંય સાધન ના હોય તો, એક જણે દેડકાં મૂક્યાં. તે આમથી બે મૂકે ત્યાર હોરાં ત્રણ કૂદીને બહાર ગયાં. એટલે એ પકડી પકડીને મૂકે ત્યાર હોરાં બીજા કૂદીને બહાર નીકળે. એટલે પાંચશેરી બંધાય નહીં. એવી રીતે આ લોકોનું સામાયિક થાય છે. એટલે ત્રાજવું આમનું આમ થયા કરે. આમનું કોઈ દહાડો દેડકાંની પાંચશેરી જેવું સામાયિક થાય નહીં. આ દેડકાની પાંચશેરી કહીએ તો વઢંવઢા કરે. હેં... અમારા સામાયિકને દેડકાંની પાંચશેરી કહો છો ? ત્યારે નહીં કહીએ, ભઈ ! ત્રાજવાંનું પલ્લું જરા ઊંચું-નીચું હતું, એટલું જ કહીએ. બાકી દેડકાંની પાંચશેરી જેવું જ છેને ? આમથી બે મૂકવા જાય ત્યાર હોરાં ત્રણ કૂદીને બહાર નીકળે. પાંચશેરી બંધાય ખરી ? (પા.૫૨૧)પ્રશ્નકર્તા : ન બંધાય. દાદાશ્રી : એટલે સામાયિકનો ખરો અર્થ આજે નીકળ્યો, એક્ઝેક્ટ. જે તીર્થંકરોના હૃદયમાં હતું તે અને તે અર્થ પ્રચલિત નથી, આજે બબ્બે હજાર વર્ષથી કોઈ જાણતુંય નથી. સામાયિક એટલે વિષમતા ન થવા દેવી તે. પોતાને જ્ઞાન તો છે નહીં અને વિષમભાવ ન થવા દેવો ! ઓહોહો ! બહુ મોટી અજાયબી કહેવાય ! જો કે આ અર્થ અત્યારે પ્રચલિત નથી, પણ સામાયિકનો મૂળ અર્થ આ છે. છોકરો એની માને આવડી આવડી ગાળો ભાંડતો હોય. તે ઘડીએ બાપ સહન ન કરી શકે પણ સામાયિકમાં બેઠો છે એટલે મનમાં એમ ખાતરી રહે કે અત્યારે સામાયિકમાં બેઠો છું, એટલે મારે વિષમતા નથી કરવી. આ એવી સામાયિક કરતો હોય તો કામ જ થઈ જાયને ! આપણા મહાત્માઓને સામાયિક જેવી સમતા રહે છે, એમાં બે મત નહીં ! સામાયિકમાં શ્રાવક બને શ્રમણપ્રશ્નકર્તા : સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જેવો બની જાય છે. દાદાશ્રી : શ્રમણ કોનું નામ કહેવાય કે વધુ સમતા ધરાવે. સમતાધારી લોકો એ શ્રમણ કહેવાય. એટલે શ્રમણ જેવો જ થઈ જાયને ! પ્રશ્નકર્તા : હું શ્રાવક એટલે ગૃહસ્થી એમ સમજું છું. દાદાશ્રી : હા, પણ ગૃહસ્થી શ્રમણ સમતાવાળો હોય નહીં પણ તે સામાયિક કરે તે દહાડે એક કલાક માટે શ્રમણ જેવો બની જાય. હમણે સામાયિકનો સાચો અર્થ ના નીકળ્યો હોય તો શ્રમણ જેવો બની જાય એનો વાંધો પડત. કારણ કે એકાગ્રતા તો અહીં બાવાઓય કરે છે, ગમે તે યોગવાળા. (પા.૫૨૨)નિરંતર સામાયિકની તો વાત જ જુદી ને !પ્રશ્નકર્તા : એવું કહ્યું છે કે અનેક પ્રકારે સામાયિક કરવી જોઈએ. એ સામાયિકના પ્રકાર કયા કયા ? દાદાશ્રી : હા, એ તો અનેક પ્રકારે એટલે આપણે અડતાળીસ મિનિટ કરીએ એ તો સામાયિક કહેવાય પણ અમથા અમથા રસ્તામાંય કો’કની જોડે ઝઘડો થઈ ગયો તો તે ઘડીએ સામાયિક લઈ લેવું, સમત્વમાં આવી જવું. જ્યાં જ્યાં એવું હોય ત્યાં સમત્વમાં આવી જવું અને આપણો માર્ગ એ જ છે ને, સમભાવ. આપણો સામાયિકનો જ માર્ગ છે આખો. સામાયિકનો, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખાનનો આ માર્ગ એટલે આપણો છેલ્લો માર્ગ છે. હવે બીજી કંઈ વાત છે ? પ્રશ્નકર્તા : આપણે તો અડતાળીસ મિનિટમાં ક્યાંથી આવીએ ? આપણે તો ચોવીસ કલાક એ ભાવમાં જ રહેવાનું ને ? દાદાશ્રી : એના જેવું તો એકુય નહીં ને ! એની તો વાત જ જુદી ને ! અરે, આપણા તો આ પ્રતિક્રમણ જે કરે છે, એ તે બહુ કિંમતી. એમને બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી તો જગત યાદ જ ના હોય કશું અને દોષો જ દેખાયા કરે, ત્રણ-ત્રણ કલાક સુધી. દોષ દેખાય તો તે દોષ જતા રહે. એ જીવતું પ્રતિક્રમણ કહેવાય ને પેલું તો નિર્જીવ પ્રતિક્રમણ કહેવાય. એનું પુણ્ય બંધાય. નકામું જાય નહીં એ. પદ્માસનની આવશ્યકતા કેટલી ?એક ભાઈ કહે છે, ‘અમે સામાયિક કરીએ ત્યારે પદ્માસન કરીએ કે ના કરીએ ?’ મેં કહ્યું, ‘આ કાળમાં પદ્માસન કરશો નહીં. નહીં તો આપણે પગ મરડવા જવું પડશે. હા પણ સ્થિર બેસજે. અને સ્થિર બેસાય નહીં તો સૂતા સૂતા કરજો. આંખો મીંચીને કરજો. આંખ ઉઘાડી રાખીને સામાયિક એક જ્ઞાનીપુરુષ જ કરી શકે. બીજા લોકોનું કામ જ નહીં. (પા.૫૨૩)એમાં જોયા જ કરવાનુંપ્રશ્નકર્તા : સામાયિક સમયે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીએ, એ વાત બરોબર પણ મન-બુદ્ધિ-ચિત્ત અહંકારની કેવી સ્થિતિ હોય ? સામાયિક સમયે ખાસ શું શું ધ્યાન રાખવું જોઈએ ? દાદાશ્રી : આ મન-બુદ્ધિ-ચિત્ત અહંકાર શું શું કરી રહ્યા છે, એ જોયા કરવાનું. જેમ આપણે ‘સુપરવાઈઝર’ હોય ને સાહેબે કહ્યું હોય કે આનું ‘સુપરવિઝન’ કરો, એટલે આપણે શું કરીએ ? પ્રશ્નકર્તા : બધાની સામું જોવાનું એ શું શું કરે છે ? દાદાશ્રી : સુપરવિઝન જ કરવાનું, કોઈને ધોલ-બોલ મારવાની નહીં. એવી જ રીતે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એને જોયા જ કરવાનું. સામાયિકમાં અંદર આત્માને જુદો પાડ પાડ કરવો અને બીજું બધું મહીંનું જો જો જ કરવું. પણ એ ‘જોવાનું ને જાણવાનું’ બે જ અભ્યાસ ‘આત્મા’ કર્યા કરે છે. બીજા અભ્યાસમાં આત્મા ના ઉતરે. ‘શું બન્યું’ તે જોયા કરે. મન શું ધર્મમાં છે, બુદ્ધિ શું ધર્મમાં છે, એ બધું જોયા કરે. બધાને ‘જોવાનું’, ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઈએ છીએ કે મહીં માણસ મારંમાર કરે છે, તોફાન કરે છે પણ આપણે તેમાં ‘ઈમોશનલ’ થતા નથી ને ? જેવું સિનેમામાં જોઈએ છીએ તેવું. અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. અડતાળીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઈ ગયું. પ્રશ્નકર્તા : તો આમાં ભૂતકાળને યાદ કરવાની જરૂર નહીં ? દાદાશ્રી : ભૂતકાળ યાદ કરવાનો નથી, સામાયિક કરવાની છે. સામાયિક કરવાની એટલે મહીં જે કૂદે છે, તેને આત્મા જોયા કરે છે. તે ઘડીએ આત્મા સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. શુદ્ધ ઉપયોગ રાખવા માટેપ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર છે ? (પા.૫૨૪)દાદાશ્રી : દાદાની જાગૃતિ હોય, બીજી જાગૃતિ રહેતી હોય, આજ્ઞામાં રહેતાં આવડતું હોય તો સામાયિક ના કરે તો ચાલે. બાકી તમારે કંઈ અબ્રહ્મચર્ય કે એવા બધા દોષો ક્યાં ક્યાં કર્યા, એવી સામાયિક લેવાની હોય. પ્રશ્નકર્તા : એમાં હજી રસ જ ઉત્પન્ન નથી થયો ને કે સામાયિક થાય જ. દાદાશ્રી : સામાયિક કરવું એવું લખી આપ્યું નથી. શુદ્ધ ઉપયોગ રહેતો હોય તો પછી વાંધો નહીં. શુદ્ધ ઉપયોગ રાખવા માટે જ સામાયિક કરવાની છે. સામાયિક માટે શુદ્ધ ઉપયોગ રાખવાનો નથી. સામાયિકથી વિકાર ગ્રંથિ ઓગાળવીપ્રશ્નકર્તા : અમે યુવાન છીએ એટલે અમારી વિષય સંબંધી ગાંઠ મોટી હોય. તો જો અમારો ઉપયોગ સામાયિકમાં હોય તો જ એ ગાંઠ ઓગાળી શકીએને ? દાદાશ્રી : હં, જોવાથી ઓગળી જાય છે. પ્રશ્નકર્તા : હા, તે એ જોઈ જોઈને ઓગાળવાનું, એટલા માટે સામાયિકમાં બેસાય તો સારું ને ? અને એ પછી સામાયિકમાં બેસવું છે એવું નથી થતું. દાદાશ્રી : સામાયિકમાં ના બેસાય તો આમ જ્યારે ગાંઠ ફૂટે ને વિચાર આવે તો એને જ્ઞાને કરીને ચોખ્ખો કરવો એનું નામ જાગૃતિ કહેવાય. છેવટે કશું ના આવડે તો ‘ન્હોય મારું’ એમ કહે, એ વિચારોને, તો એ છૂટ્યો. વિચાર આવ્યો કે દ્રષ્ટિ બગડી તો ‘ન્હોય મારું’ એમ કહે તો છૂટ્યો. અને વિષયનો વિચાર જ્યારે ઉત્પન્ન થાય, એને ‘ન્હોય મારો’ એમ કહીએ તોય બંધ થઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે એમાં સામાયિકની જરૂર જ નથી ઊભી થતી કે રીતસર કલાક આપણે બેસવું જોઈએ. (પા.૫૨૫)દાદાશ્રી : સામાયિક થાય તો સારી વસ્તુ છે. ના થાય તો આમ, જેમ જેમ દોષો ઉત્પન્ન થાય તેમ તેમ કાઢતા રહેવું. પ્રશ્નકર્તા : અમારી ઇચ્છા છે કે સામાયિક કરવું જોઈએ અને છતાં નથી બેસાતું એ શાથી ? દાદાશ્રી : બધા ભેગા હોય ત્યારે બેસાય. એકલાને બેસતાં ના ફાવે. ભેગાનું વજન થાય સામસામી, વાતાવરણ ઊભું થાય. એટલે બધાયે ભેગા ફરી બેસવું. પ્રશ્નકર્તા : અમારે એવી ગોઠવણી કેવી રીતે કરવી કે જેથી વધુમાં વધુ લાભ લેવાય ? દાદાશ્રી : વધારે માણસ ભેગા થાય એટલે વધારે લાભ લેવાય. અસર થાય ને બધી સત્સંગની. સામાયિક કરવું હોય તો દસ-બાર માણસ ભેગા બેઠા હોય તો સામાયિક કરો તો સારું થાય. એકલા બેસો તો (અસર) ના થાય, બધાની અસર થાય. નથી કરવાપણું આમાંપ્રશ્નકર્તા : આ તો આપણા વિજ્ઞાનની વાત છે. આપણે અડતાળીસ મિનિટ બેસીને કરીએ છીએ તે, આ ગાંઠો ઓગાળવા માટે આપે કહ્યું હતું. દાદાશ્રી : એ તો આપણું અક્રમ વિજ્ઞાન છેને ! એટલે સ્થિર બેસીને ગાંઠો બાળવા માટે (આ સામાયિક છે) ! બાકી આને સામાયિક કહેવાય નહીં. બીજું નામ આપવું પડે ને બીજું નામ જડતું નથી એટલે આ ચાલવા દીધું. અને સામાયિક એટલે તો બીજું કશું નહીં, મનમાંથી જે સ્ફૂરણા થાય તેના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા કરવાનું. પ્રશ્નકર્તા : સામાયિક ને પ્રતિક્રમણ એ ક્રિયા કહેવાય ? દાદાશ્રી : ના, સામાયિક-પ્રતિક્રમણ એ ક્રિયા નથી. એ જ્ઞાનક્રિયા (પા.૫૨૬)છે. અજ્ઞાનથી કરે છે એ અજ્ઞાન ક્રિયા છે. અને આપણું તો આ જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાથી છૂટે અને અજ્ઞાનક્રિયાનું તો ફળ આવે, ભૌતિક સુખો મળે. પ્રશ્નકર્તા : મારો એવો અનુભવ છે કે સામાયિક કરવાથી જાગૃતિ બહુ વધે છે. દાદાશ્રી : જાગૃતિ બહુ વધે. જાગૃતિ માટે એના જેવું એકેય નથી. પ્રશ્નકર્તા : પણ હું એને ક્રિયા સમજતો હતો. દાદાશ્રી : ના, એ તો જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાને ખરેખર ક્રિયા કહેવામાં આવતી નથી. વહેવારમાં કહેવું પડે કે હું સામાયિક કરું છું. સામાયિક ‘કરવાનું’ એ તો ‘કરવાનું’ શબ્દ બોલીએ એટલું જ. જો કે સામાયિકમાં રહેવાનું જ હોય. આ તો પહેલાંની ટેવ પડી ગયેલી ને, શબ્દો બોલવાની, એટલે એવું બોલવું પડે. ભાષા થઈ ગયેલીને, કે સામાયિક કરવાની છે, બાકી સામાયિકમાં તો રહેવાનું છે. કરવાનું તો છે જ નહીંને આપણે ત્યાં. એ ભાષા એવી થઈ ગયેલી તે બોલવું પડે. ભાષાનો વ્યવહાર બધો એવો થઈ ગયેલો. અંદરની શુદ્ધિ, સામાયિકથીપ્રશ્નકર્તા : આ સામાયિકમાં આપણે બેઠા હોઈએ તે જ્યારે મનમાં આવો ખરાબ વિચાર આવે તો એ સમયે જ પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : હા, એ સમયે જ કરવું બધું અને તે ‘આપણે’ કરવાનું નથી. ‘આપણે’ જાણકાર છીએ અને ચંદુભાઈને ભાન નથી, ચંદુભાઈ કર્તા છે. એટલે કર્તાને આપણે એમ કહેવું કે ‘આમ કરો, તમે આમ કેમ કર્યું ?’ આપણે જ્ઞાતા છીએ ને એ કર્તા છે. ધ્યાન-સાધનાની ક્રિયા જે છે તે તમને અહીં ફરીવાર આવશો ત્યારે બતાવશે. એક પ્રકારનું એવું સામાયિક છે કે જે અંદર આખી લાઈફના દોષો જોઈ શકે, તમે અંદર બધા દોષો જોઈ શકો અને (પા.૫૨૭)જોવાથી એ ઓછા થઈ જાય. એ સામાયિક તમે અહીં આવશો ત્યારે બતાવશે. પણ હમણાં તો પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરોને ! સામાયિકનો ઉઠાવો લાભપ્રશ્નકર્તા : મારા મનની નબળાઈ છે એટલે મારાથી આપણી સામાયિકમાં બેસી શકાતું નથી. દાદાશ્રી : બધાની જોડે જોડે બેસીએ તો બેસાય, તેનાથી સામસામી પર્યાયી અસર થાય. તમારે સામાયિકમાં ગાંઠ ના મૂકવી. તમારે તો મન શું કરે છે, તે બધું જોવામાં જ કાઢવું. મનની નબળાઈ શું કરે છે, તે જોયા કરવું. પણ જ્યારે-ત્યારે એ ગાંઠોને ઓગાળવી તો પડશેને ? જેટલું ઓગાળીએ તેટલો લાભ થશે. આ ભવમાં ને આ ભવમાં લાભ થશે ! સંયમની શક્તિ ખૂબ વધી જશે. આવો માર્ગ, આવો અવસર ફરી ફરી મળે નહીં માટે કામ કાઢી લો. આ સામાયિકથી ગમે તેવી ગાંઠ હોય તો તે ઊડી જાય ! નિરંતર સમાધિનો માર્ગ છે આ આપણો ! જેટલું અમારી આજ્ઞામાં રહેવાય એટલી નિરંતર સમાધિ રહે. આજ્ઞામાં વધારે રહીશું તો સમાધિનો વધારે લાભ મળશે. અક્રમમાં ગાંઠો ઓગાળવાશુદ્ધાત્માનું ભાન થયા પછી સામાયિક કરવાનું ના હોય. શુદ્ધાત્મા એ જ સામાયિક છે. જગતના લોકો કરે છે તેવું સામાયિક આપણે હવે કરવાનું રહ્યું નહીં. છતાં અહીં જે સામાયિક કરાવવામાં આવે છે એ તો શેને માટે કરવી પડે છે ? આપણે ‘અક્રમ માર્ગે’ કર્મો ખપાવ્યા સિવાય ‘લિફ્ટ’માં ઉપર ગયા છીએ. તેથી મહીં ગાંઠો સાબૂત છે, તેને ઓગાળવાનું સામાયિક આ બધા કરે છે. જે ગાંઠ મોટી હોય તેને સામી જ્ઞેય તરીકે મૂકે ને પોતે જ્ઞાતા તરીકે રહે ને એક કલાક એમાં ગાળે, એટલે એ ગાંઠ એટલા પ્રમાણમાં ઓગળે. ગાંઠ બહુ મોટી હોય તો તે બહુ કલાક માંગે. રોજ એક-એક કલાક જાય તો તે ગાંઠ ખલાસ થઈ જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધું ખલાસ થઈ જાય !!! (પા.૫૨૮)આ સામાયિકમાં શું કરે ? કે ‘મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ હું જાણું છું.’ પણ એ સ્વભાવનું શું થાય ? કોઈને આટલો જાડો સ્વભાવ હોય, તો કોઈને આટલો જાડો હોય. હવે આ સામાયિક કરે ને, તે ઘડીએ એ સ્વભાવને મૂકીએ તો તે બધું ઓગળી જાય. એ સ્વભાવનો જ્ઞાતા-દ્રષ્ટા થયો તો એ ઓગળવા માંડે. આપણી સામાયિક કેવી હોય ? જ્ઞાતા-દ્રષ્ટાની સામાયિક હોય એટલે એમાં કાયોત્સર્ગ પણ આવી જાય. આવી સામાયિક તો કોઈ કરે જ નહીં ને ! આ તો ઓર જ પ્રકારની સામાયિક છે. જ્યાં જ્યાં ઓગાળવાનો છે, એ સ્વભાવને સામાયિકમાં મૂક્યા કરવાનો અને આપણે જાણીએ એટલે એ સ્વભાવ ઓગળ્યા કરે. અને બીજો શું લાભ મળે કે આત્માનો રસાસ્વાદ ચાખે ! આત્મા સ્થિર છે, અચળ છે, અને દેહને જો અચળ કર્યો તો સ્વાદ ઉત્પન્ન થઈ ગયો ! બહાર જો અચળ કરીએ તો અચળતાનો મહીં સ્વાદ આવે. તેથી પેલા લોક સામાયિક કરે, કાયોત્સર્ગ કરેને કે મહીંથી સ્વાદ આવે. એટલે જાણે કે બહાર ઇન્દ્રિયોનું સુખ નથી, સુખ અંદર છે અને આપણે તો સુખ અંદર છે એ જાણી ગયા છીએ તો હવે આ સામાયિક શા માટે કરવાનું કે, આ સ્વાદ ચાખવા માટે. આત્મરસ ભોગવવા માટે આપણે સામાયિક કરવાનું છે ને પેલા લોકોને તો આત્મરસનું ભાન થવા માટે કરવાનું છે. સ્વભાવ રસ ઓગળે એમાં‘મન-વચન-કાયાની ટેવો અને તેના સ્વભાવને ‘શુદ્ધ ચેતન’ જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ ‘શુદ્ધ ચેતન’ જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.’ આત્માનો મોક્ષગામી સ્વભાવ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે. સ્વરૂપજ્ઞાન પછી આપણે આપણા સ્વભાવને જાણીએ છીએ અને આ મન-વચન-કાયાની ટેવોને પણ જાણીએ છીએ. મન આવું છે, વાણીની ટેવ આવી (પા.૫૨૯)છે, સામાને અપ્રિય થઈ પડે એવી છે, ખરાબ ભાષા છે, એવું બધું તમે જાણો કે ના જાણો ? તમે આય જાણો ને ‘પેલું’ય જાણો. કારણ કે તમે સ્વ-પર પ્રકાશક છો. પોતાને, ‘સ્વ’ને પણ પ્રકાશ કરી શકે અને પરને પણ પ્રકાશ કરી શકે. અજ્ઞાની માણસ, ‘પર’ એકલાને જ પ્રકાશ કરી શકે, ‘સ્વ’ને પ્રકાશ ના કરી શકે. એમને એવું થાય ખરું કે મારું મન બહુ ખરાબ છે, પણ પાછા જાય ક્યાં ? ત્યાં ને ત્યાં જ રહેવું પડે. જ્યારે આત્મજ્ઞાનવાળો તો જુદો રહે. પ્રશ્નકર્તા : ‘ટેવો અને તેનો સ્વભાવ’ એ ના સમજાયું. દાદાશ્રી : મન-વચન-કાયાની ટેવ એકલી નથી કહી, જોડે તેનો સ્વભાવ કહ્યો છે. સ્વભાવ એટલે કોઈ કોઈ ટેવ ખૂબ જાડી હોય છે, કોઈ ટેવ છે તે બિલકુલ પાતળી હોય છે, નખના જેટલી જ પાતળી હોય, તે એક કે બે વખત પ્રતિક્રમણ કરે એટલે ખલાસ થઈ જાય. અને જે ટેવ ખૂબ જાડી હોય તેનાં તો પ્રતિક્રમણ ખૂબ કરીએ, છોલ-છોલ કરીએ ત્યારે એ ઘસાઈ જાય. મન-વચન-કાયાની ટેવો જે છે એ તો મરે ત્યારે છૂટે એવી છે, પણ એનો જે સ્વભાવ છે તે ઘસી નાખવો જોઈએ. પાતળા રસથી બંધાયેલી ટેવોનાં તો બે-પાંચ વખત પ્રતિક્રમણ કરશો તો એ ઊડી જશે, પણ જાડા રસવાળાને પાંચસો-પાંચસો વખત પ્રતિક્રમણ કરવાં પડે, ને કેટલીક ગાંઠો, લોભની ગાંઠો તો એટલી મોટી હોય કે, રોજ બબ્બે ત્રણ-ત્રણ કલાક લોભનાં પ્રતિક્રમણ કર કર કરે તોય છ વર્ષેય પૂરી ના થાય ! અને કોઈને લોભની ગાંઠ એવી હોય કે એક દહાડામાં કે ત્રણ કલાકમાં ખલાસ કરી નાખે ! એવા જાતજાતના સ્વભાવ રસ હોય છે. એટલે આપણું અક્રમનું પ્રતિક્રમણ જુદી જાતનું હોય. આ બધી જે ગાંઠો હોય, તે આમાં (સામાયિકમાં) મૂકી દેવાની. લોભ હોય, ક્રોધ હોય, માન હોય, તેની ગાંઠો મૂકી દેવાની. એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ, એવી રીતે અડતાળીસ મિનિટનું સામાયિક કરવાનું. જ્ઞેય-જ્ઞાતા સંબંધથી જ ગાંઠો બધી ઓગળી જાય. આ વ્યવહાર સામાયિક કરે છે (પા.૫૩૦)તે તો એકાગ્રતા કરવા માટે છે અને આ સામાયિક તો ગાંઠો ઓગાળવા માટેનું છે. જે ગાંઠ વધારે હેરાન કરતી હોય, જેના બહુ વિચાર આવતા હોય એ ગાંઠ મોટી હોય. આ પ્રતિક્રમણ વખતે માઈન્ડ એબ્સન્ટ હોય છે, બીજું કશું નહીં. વિચારો જોડે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ, પ્રતિક્રમણ વખતે વિચારો આવતા જ નથી. વિચારો બંધ થઈ જાય અને વિચારો જો કોઈને આવતા હોય તો એ જુએ, એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. વિષય સંબંધી સામાયિકઅમે વિષય સંબંધી સામાયિક કરાવડાવ્યું હતું, કે અત્યારથી ઊંડા ઉતરો તે અત્યારે આપણી ચાલીસ વર્ષની ઉંમર છે, તે ૩૯ વર્ષમાં શું થયું, ૩૮ વર્ષમાં શું થયું, એમ કરતાં કરતાં છેવટે ૧૦ વર્ષની ઉંમર સુધી લોકો પહોંચેલા હતા. હવે એ તો પહોંચ્યા એ વાત જુદી છે, પણ એ પછીય આઠ-આઠ દહાડા સુધી એમને એ દોષો દેખાવાના ચાલુ જ રહ્યા. તે બંધ જ ના થાય. ઘેર ખાતી વખતે, પીતી વખતે મહીં ચાલુ જ રહે, મહીં કોતર્યા કરે. એટલે પછી એ લોકો કહે છે કે આ તો અમે કંટાળી ગયા છીએ. હવે બંધ કરાવી દેવડાવો. તે અમે પછી બંધ કરાવડાવ્યું. મહીં નિરંતર ચાલુ જ રહેલું. તે મહીં દોષો ખોળ ખોળ ખોળ કરે. પચ્ચીસ વર્ષ ઉપર આ કર્યું હતું, તે બધા પર્યાય દેખે. ભૂતકાળમાં વસાઈ ગયેલા પર્યાયોને જોવા એ આપણું સામાયિક. આ સામાયિકમાં તો દોષો ધોવાય. અત્યાર સુધીનાં, જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં, જે દોષો થયેલા હોય એ જોવાનું સામાયિક છે. તે કયા દોષ જોવા છે ? જ્ઞાન લેતાં પહેલાં જે બધા દોષો થયેલા હોય તેને જોવાથી એ બધા દોષો ધોવાઈ જાય. હજુ પણ જોઈએ તો ધોવાઈ જાય. અને યાદ કરવા જાય તો યાદ એકુય આવે નહીં. આ જ્ઞાને કરીને દેખાય બધા. આત્મા હાજર થઈને બધું દેખાય. ઠેઠ સુધીનું, આખી લાઈફનું દેખાય અને વિષયના દોષો તો... પ્રશ્નકર્તા : વિષયના દોષોનું સામાયિક કરેલું. (પા.૫૩૧)દાદાશ્રી : હા, તે ઠેઠ સુધી વિષયના જે જે દોષો થયા હોય તે બધા દેખાશે. દેખાતા દેખાતા દેખાતા બાર વર્ષનો થયોને ત્યાં સુધી દેખાયા કરશે. જ્યારથી વિષયની શરૂઆત થાય ત્યાં સુધીનું દેખાશે. શરૂઆતથી તે અંત સુધી જેટલા દેખાયા એટલા બધા ઊડી ગયા. ફાડ ફાડ કરવાં ચીતરાયેલાં પાનાંઅને સામાયિક શું છે ? જે તમારે આદત હોય, પેલા ભાઈ કહેતા’તાને કે મારે પુસ્તકો વાંચવાની આદત છે. તો એ પુસ્તકોનો ઢગલો કલ્પનાથી મૂકવો, અને પછી જ્ઞાતા-દ્રષ્ટા રહી, પુસ્તકો ફાડ ફાડ કરવાં. એક કલાક ફાડે ને આપણે જોઈએ. ચંદુભાઈને કહેવું, ‘પુસ્તકો બધાં ફાડી નાખો’ એટલે એ ગાંઠ ઓગળી જાય. લોભની ગાંઠ હોય તો લોભની ગાંઠ મૂકવી. આ ગાંઠો ઓગાળવાનું સાધન છે. મહીં ગ્રંથિઓ છે, છેવટે નિર્ગ્રંથ થવું પડશે. નિર્ગ્રંથ થયા વગર છૂટકો નથી. આમ કરવી શરૂઆત, સામાયિકનીપ્રશ્નકર્તા : આગલા જન્મમાં અમે અતિક્રમણ કેટલાં કર્યાં ? કેવાં કર્યાં ? શું કર્યું ? એ તો અમને ખ્યાલ જ નથી. એ ખ્યાલ કેમ આવે ? દાદાશ્રી : આગલા ભવનું આપણે શું કામ છે તે ? અત્યારે કેટલાં અતિક્રમણ કરીએ છીએ તે ધોવાનાં છે. પ્રશ્નકર્તા : આ ભવમાંય અતિક્રમણ કર્યાં હોય તેનોય ખ્યાલ ન આવે ને બધો કંઈ ? દાદાશ્રી : એ તો એકલા સામાયિકમાં બેસીએ ને એ બાજુ પડીએ કે મારે આ બધું ખોળી કાઢવું છે, તો બધું જડી આવે, વિગતવાર જડી આવે. આજે એક સામાયિક કરજો. પ્રશ્નકર્તા : હા, કેવી રીતે સામાયિક કરીએ ? દાદાશ્રી : હા, નાનપણથી તે અત્યાર સુધી જેની જેની જોડે દોષ (પા.૫૩૨)થયા હોય, હિંસા સંબંધી કોઈ જીવો જોડે થયા હોય, કોઈને દુઃખ દીધું હોય, કોઈને અવળો શબ્દ બોલ્યા હોય, કોઈની જોડે કષાય કર્યા હોય, એ હિંસા સંબંધી દોષો. પછી જૂઠ, ચોરી-સંબંધી, વિષય-વિકાર સંબંધી કે આ વસ્તુઓમાં મમતા, એ શું કહેવાય ? પરિગ્રહ કહેવાય. એ જે જે દોષ કર્યા હોય એ દોષોને યાદ કરી અને ભગવાન મહાવીરની સાક્ષીએ અથવા શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એમ કહીને માફી માંગજો, આટલું કરજો, થાય એટલું ? પ્રશ્નકર્તા : થાશે. જેટલા યાદ આવશે એટલા બધા કરી જઈશું. દાદાશ્રી : યાદ આવે એટલો વખત બધું કરજો. જેની ઇચ્છા છે, જે સરળ છે, એને યાદ આવ્યા વગર રહેશે નહીં. અને ભગવાનના માર્ગમાં સરળતા એ મોક્ષનો સરળ રસ્તો, ઊંચો રસ્તો. સરળ ના થયો તો ભગવાનના માર્ગમાં જ નથી. એટલે આટલું કરજો. બધું યાદ કરી કરીને કરજો. અને જોડે જોડે એમેય કરજો કે જ્ઞાનીપુરુષ હોવા છતાંય, અમે શંકા કરી ને જ્ઞાનીપુરુષ કેવા હોય, એવું બધું પૂછયું, તેય અમારો દોષ છે. એવું પણ કરજો. નાનપણમાં બિલાડીને માર્યું હોય, પછી વાંદરાને કંઈક ઢેખાળો માર્યો હોય, એ બધું મહીં દેખી શકે છે. એ પહેલાંના પર્યાય મહીં દેખી શકે છે, પણ સામાયિક વધુ કરતા હોય તો. પહેલી વખત સામાયિક કરે તો એવું એકદમ ના થાય, પણ પાંચ-દસ-પંદર સામાયિક થાય ત્યાર પછી બહુ ઝીણવટ આવતી જાય. પહેલું દાદાનું ધ્યાન ધરી, સ્મરણ કરીને, એકાદ પદ વાંચી અને પછી ત્રિમંત્ર બોલીને, પછી ‘હું શુદ્ધાત્મા છું’ની સ્થિરતા કરી લેવાની, પછી આજથી તે નાનપણ સુધીના જે જે બનાવો બન્યા હોય, વિષય વિકારી કે હિંસાના બનાવો, જૂઠ-પ્રપંચ કર્યા હોય એ બધું જેટલું તમને દેખાય, એટલા બધાનાં પ્રતિક્રમણ કરવાની શરૂઆત તમે કરજો. આજથી (પા.૫૩૩)પાછા ચાલવાનું, ગઈ કાલે કોની જોડે કર્યું, પરમ દહાડે કોની જોડે કર્યું, ચોથે દહાડે કોની જોડે કર્યું, અથવા નાનપણથી સંભારવાનું એ જેટલું યાદ આવેને એનાં પ્રતિક્રમણ કરવાનાં. એ યાદ આવશે, કુદરતી રીતે જ યાદ આવશે. તમારે યાદ નહીં આવે તો શું કરીશું એવું ગભરાવું નહીં. તમે શરૂ કરશો કે ધોધમાર વરસાદ પડશે ! રણમાંય વરસાદ પડશે ! અને પછી જ્યાં આગળ હિંસા જેવા દોષ કર્યાં હોય, અગર તો વાણીથી હિંસા કરી હોય, અગર તો કપટ કર્યાં હોય, કંઈ લોભ કર્યા હોય, માન કર્યાં હોય, ધર્મમાં વિરાધના કરી હોય તે બધાનું પ્રતિક્રમણ કરતાં કરતાં આગળ ચાલો. પછી અબ્રહ્મચર્ય સંબંધી અણહક્કના ભોગ ભોગવ્યા હોય અને વિચાર પણ એવો કર્યો હોય, એ પણ બધાંને સંભારીને ધો ધો કરજો. જગત જેની નિંદા કરે, જ્યાં નિંદા થાય એવું હોય તેનું ફળ નર્કના અધિકારી થાય ! માટે એ બધાનું પ્રતિક્રમણ કરી નાખજો. આ ચેતન વાણી છે. તે ચેતન વાણી જ કામ કરશે. શુદ્ધતાપૂર્વક બેસીને પ્રતિક્રમણ શરૂ કરી દો. પાંચ મહાવ્રત છે, તે મહાવ્રતનો ક્યાં ક્યાં ભંગ થયો એનું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. બાકી હર્યા હોય, ફર્યા હોય, પાન ખાધું હોય, એનું નથી કરવાનું. મનુષ્યને મનુષ્યના સામસામી દોષ થયા હોય તેનાં પ્રતિક્રમણ કરવાનાં છે. એટલે મિશ્રચેતન જોડેના જે દોષ થયાં હોય તે દોષ માટે પ્રતિક્રમણ કરવાનું આપું છું. આ ‘દાદા’ની આજ્ઞા થઈ છે તે પાળજો. આમ તો રોજ પ્રતિક્રમણ કર્યા કરીએ છીએ. કોઈ મિશ્રચેતન પ્રત્યે વિષયનો વિચાર આવ્યો હોય, કંઈ દોષ કર્યા હોય, તે બધાને નાનપણથી અત્યાર સુધીનું યાદ કરી કરીને પ્રતિક્રમણ કરવાનું. આ પ્રતિક્રમણ આજ્ઞાપૂર્વકનું છે, તે બધું ધોવાઈ જશે. માણસનો શું આચાર ના થાય ? પણ આજ્ઞા પાળી એટલે ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : મિશ્રચેતનમાં શું શું આવે ? દાદાશ્રી : મિશ્રચેતન એટલે આ કૂતરાને લાત મારી કાઢી મેલ્યું હોય તો તેની જોડે વેર બાંધ્યું કહેવાય. રસ્તા પર કોઈ સ્ત્રીને ધક્કો (પા.૫૩૪)માર્યો હોય તેય મિશ્રચેતન જોડે દોષ કર્યો કહેવાય, એ બધા દરેક મિશ્રચેતન જોડેના એક-એક દોષને સંભારીને, એક-એક દોષને ખોળીને આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરજો. જ્ઞાનીપુરુષની આજ્ઞામાં રહેવાથી દોષોનાં ઓપરેશન થતાં જાય. આ તો ‘લિફ્ટ’ માર્ગ છે. તે રસ્તે ચાલતાં માર્ગ મળી ગયો છે ને ! એટલે આમ આજ્ઞામાં રહેવાથી માલ ચોખ્ખો થતો જાય. એમ કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રશ્નકર્તા : ભૂલો ખ્યાલમાં ન આવે તો ? દાદાશ્રી : તો દાદાને યાદ કરીને કહેવું, ‘હે દાદા ભગવાન, હવે યાદ નથી આવતું.’ તે પાછું યાદ આવવા માંડશે અને જેટલા દોષ દેખાયા એટલા દોષ ભાંગી જશે. હવે સુખ પોતાને મહીં શરૂ થઈ ગયું છે, પણ પૂર્વેના મિશ્રચેતન જોડેના હિસાબ બાકી હશે તે દાવા માંડશે, અને આમ માર ખાઈને પાંસરા થવા કરતાં મિશ્રચેતન જોડે થયેલા દોષોની માફી જ માંગ માંગ કરીએ એટલે હલકા થઈ જવાય. છોકરાં જોડે, પત્ની જોડે, ફાધર, મધર એ બધાં મિશ્રચેતન જ કહેવાય. એ બધાનાં પ્રતિક્રમણ કરવાનાં. આજ્ઞા પાછળ જ્ઞાનીપુરુષનું વચનબળ કામ કરે એટલે કામ નીકળી જાય. હવે અત્યારથી જોતાં જોતાં જોતાં ઠેઠ નાની ઉંમર સુધી અંદર જોયા કરો. જોતાં જોતાં આ વર્ષથી ગયા વર્ષમાં, એના આગલા વર્ષમાં એમ કરતાં કરતાં બધું દેખાશે, ઠેઠ સુધી. નાનપણથી અત્યાર સુધીનું જોવું અગર તો અત્યારથી નાનપણ સુધી જોવું. ગમે તે એક અભ્યાસમાં પડી જજો મહીં. આત્મા થકી જોજો મહીં, અટકે તોય જો જો કર્યા કરજો. એટલે દેખાતું જશે આગળ. અંતરાયો ઘણી વખત ના હોય અને કોઈને હોય તો અટકે અને અંતરાય ઓછા હશે તેને બધું દેખાતું જશે. ઠેઠ નાના હતા ત્યાં સુધી બધું દેખાશે, શું શું કર્યું તે બધુંય. સામાયિકની વિધિ(જ્ઞાનસાક્ષાત્કાર પામ્યા પછી)નીરુબેન : હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, મને (પા.૫૩૫)શુદ્ધ ઉપયોગપૂર્વક, આખી જિંદગીમાં થયેલા, વિષયસંબંધી દોષોનું સામાયિક-પ્રતિક્રમણ કરવાની શક્તિઓ આપો. દાદાશ્રી : દોષો જોવાની શક્તિ. નીરુબેન : મને વિષયસંબંધી થયેલા દોષોને જોવાની શક્તિઓ આપો. હું મન-વચન-કાયા, મારા નામની સર્વ માયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુનાં સુચરણોમાં સમર્પણ કરું છું. દાદાશ્રી : હું શુદ્ધાત્મા છું (૫) હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન-વચન-કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું ભાવકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્યકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નોકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાનવાળો છું. (૫) હું અનંત દર્શનવાળો છું. (૫) હું અનંત શક્તિવાળો છું. (૫) હું અનંત સુખનું ધામ છું. (૫) હું શુદ્ધાત્મા છું. (૫) હવે અંદર ઊંડા ઉતરવા માંડો. (સામાયિક કર્યા પછી...) પ્રશ્નકર્તા : સામાયિક તો બહુ કામ કાઢી નાખે. દાદાશ્રી : એકલા હોય તો બધું જેવું જોઈએ તેવું ના થાય. તમને (પા.૫૩૬)હું બોલાવું એટલે મહીં બધું છૂટું થઈ જશે. પ્રશ્નકર્તા : આ પહેલીવાર સામાયિક કરી. ગમ્યું ! દાદાશ્રી : એ તો રાગે પડી જશે. અને આપણું આ સામાયિક તો એ વસ્તુને આત્મા પ્રત્યક્ષ કરવી. આ આત્માનું સામાયિક કહેવાય. એમાં પુદ્ગલને લેવાદેવા નહીં. પુદ્ગલ જોડે લેવાદેવા નહીં. પુદ્ગલનો જ્ઞાતા થઈને કામ કરે એવું આ સામાયિક છે. એવું કોઈ દહાડો દેખાયેલું નહીંને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : નવેનવું છે. કો’કને બરોબર ના થયું હોય, પણ આ બહુ સુંદર ઉપાય છે. તમને ક્યાં સુધી દેખાયું ? પ્રશ્નકર્તા : નાનપણથી અત્યાર સુધી. દાદાશ્રી : બધું દેખાય, આમ ફોટા સાથે દેખાય. કોઈને ચૂંટી ખણી હોય તેય દેખાય. બચકું ભરી લીધું હોય તેય ખબર પડે. (નવા મુમુક્ષુને) તમારે ખેદ નહીં કરવાનો. તમને ના દેખાય. કારણ કે મેં તમને હજુ દ્રષ્ટિ નથી આપીને. હું તમને દ્રષ્ટિ આપીશ પછી દેખાશે. બધા બેઠા હોય ત્યારે તમે ક્યાં જઈને બેસો ? પ્રશ્નકર્તા : કોશિશ કરી જોવાની. દાદાશ્રી : હા, ખરું. નહીં તો મનમાં થાય કે દાદાએ મને આ જંગલમાં ક્યાં ઘાલ્યો ? વિધ વિધ અનુભવો સામાયિકમાંપહેલી જ વખત કર્યું ? પ્રશ્નકર્તા : હા. (પા.૫૩૭)દાદાશ્રી : હવે આવું સામાયિક બીજાં લોકો કે કોઈ સાધુ-સંન્યાસીઓ કરી ના શકે. પ્રશ્નકર્તા : આજે સામાયિક કર્યું તે મોટામાં મોટી પાવરફૂલ ટેકનિક (શક્તિશાળી વૈજ્ઞાનિક રીત) છે. દાદાશ્રી : આ તો સામાયિક નથી, આ તો આપણી શોધખોળ છે. સામાયિક એટલે સમતામાં રહેવું. રાગ-દ્વેષ ન થવા દે. એ તો તમારે આખો દહાડો રહે જ છે ને એવું. એ તો આખો દહાડો તમારે સામાયિક છે. તે રાગ-દ્વેષ તો તમને થતા નથી. એટલે તમારો આખો દહાડો, દહાડાના દહાડા સામાયિક થાય. અને આ તો તમે અંદર જોયું તે ઘડીએ આત્મા કેવો થઈ ગયો ! એની કેટલી શક્તિ છે ! તે વખતે નહોતા ચંદુભાઈ, નહોતા કોઈના ધણી, નહોતા કોઈના કશું, ત્યારે જ બધું દેખાયું. નહીં તો ધણી થયેલો, વળી આંધળો દેખે શું બહાર ? એ તો ફૂલ લાઈટ જ જોઈએ. યાદ કરવા જાય તો એમાંનો એકુય પર્યાય યાદ ના આવે ને આ જો બધા પર્યાય જોયા ને ! બાકી સ્મૃતિ એટલી બધી સ્પીડી, જલદી ફરી જ ના શકે. આ તો નાનપણમાં આમ થયું, પછી અમુક મોટી ઉંમરમાં આમ થયું, પછી અમુક ઉંમર સુધી આમ થયું, દેખાડ્યે જ જાય. હવે આ દેખાય છે તે બધાને ફેર હોય. કોઈને બિલકુલ પ્યૉર દેખાતું હોય. કોઈને સહેજ આવરણવાળું દેખાતું હોય, આમાં ફેર હોય. પ્રશ્નકર્તા : સામાયિકમાં પહેલાં થોડા વખતમાં પંદર-વીસ મિનિટમાં આખી ફિલ્મ પતી ગઈ. દાદાશ્રી : હા, એ પતી જાય. પ્રશ્નકર્તા : તો પછી શું કરવાનું ? દાદાશ્રી : પછી એમને એમ સ્થિર રહેવાનું, એમાં કંઈ વાંધો નહીં. અગર તો બીજો કોઈ પણ ઉપયોગ લેવાનો. (પા.૫૩૮)પ્રશ્નકર્તા : પછી એ ફિલ્મ મેં બે વાર જોઈ લીધી. દાદાશ્રી : એનો વાંધો નહીં, સારું. જેટલું જોવાય એટલું ચોખ્ખું કરવાનો ટાઈમ મળે ને ! આ તો શુદ્ધ-ચોખ્ખો-પ્યૉર આત્મા છે. આમ દોષ હોય એ બધા યાદ કરવા જઈએ તો એમાંનું કશું યાદ આવે નહીં અને સામાયિકમાં બધું એમને એમ દેખાય. એટલે એ જોનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા હતો આનો. એટલે આત્મા તમને જુએ કે તમે શું કામ કરો છો. બીજા કોઈને કશું કહેવું છે, સામાયિકનો અનુભવ ? પ્રશ્નકર્તા : એકદમ શાંતિ થઈ ગઇ. બધા દોષો ખૂબ દેખાયા. દાદાશ્રી : દોષો જોયા એટલા ગયા. હજુ નાના નાના હશે તે ફરીવાર સામાયિક કરો આવું ત્યારે જતા રહે. પછી તમારે કશું આવ્યું ? પ્રશ્નકર્તા : હા, નાનપણથી તે અત્યાર સુધીના બધા દોષો દેખાયા અને હવે એક વિશેષ પ્રાર્થના છે કે હવે ફરી વિષય સંબંધી આવા દોષો ના થાય, એવું કરી આપો. દાદાશ્રી : હા, એ કરી આપીશું. પણ કેટલી ઉંમર સુધી દેખાયા ? પ્રશ્નકર્તા : નાનપણથી. દાદાશ્રી : નાનપણથી અત્યાર સુધીના બધા દોષો દેખાયા ! આ તો બહુ સારું. એ દેખનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા, આ આત્મા દેખાયો ! તમે આમ યાદ કરવા જાવ તો એકુય યાદ ના આવે અને આ બધું દેખાયું. બહુ થઈ ગયું. ચાલો, જેટલા દેખાયા એટલા ગયા, એ ફરી નહીં આવે. નથી અસ્તિત્વ મનનું ત્યારેપ્રશ્નકર્તા : આ પોતાની ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે (પા.૫૩૯)એમાં મન ચોંટતું હોય, ગમતું હોય, એમાં કંઈ ખરાબ કર્યું છે કે કંઈ ખોટું થયું છે, એવા ભાવ ન થતા હોય તો એ કેવું દેખાય ? દાદાશ્રી : સામાયિકમાં તે ઘડીએ મન હોય જ નહીં. મનનું અસ્તિત્વ જ ના હોય. આ તો જોવાનું જ હતું. સારું કે ખોટું એવું કશું જોવાનું નહીં, ખાલી જોવાનું જ હતું. પ્રશ્નકર્તા : જોઈને એવું કહેવાનું નહીં કે માફી માગું છું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે. પણ આ આવું-તેવું અટકી રહેતું હતું, એવું ના બોલાય. આમાં અટકનારું કોઈ છે જ નહીં. આ મનની ક્રિયા નથી, આ આત્માની ક્રિયા છે. આ આત્માની ક્રિયા છે એટલે આમ દેખાય ખરું, તેથી મનને એમાં કશું લેવાદેવા નથી. દેખાય આત્માનું ચારિત્રપ્રશ્નકર્તા : એકવાર પ્રતિક્રમણ કરીએ તો ફરી આવ્યા કરે ? દાદાશ્રી : બહુ જાડું હોય તો આવ્યા કરે. લાંબું હોય તો ઠેઠ સુધી રહ્યા કરે. એટલા માટે જ ફરી કરવાનું ને ખલાસ થતાં સુધી કર કર કરવાનું. અને તે ઘડીએ આ સામાયિકમાં આત્માનું ચારિત્ર જોવાનું મળ્યુંને આપણને ! આ ચારિત્ર કહેવાય, પ્યૉર ચારિત્ર કહેવાય ! જે કોઈને જરા ઠીક પ્રમાણમાં દેખાયું તો આંગળી ઊંચી કરજો. તમને હઉ દેખાયું ? પાટીદારને હઉ દેખાયું ? પ્રશ્નકર્તા : ચોખ્ખું દેખાયું. દાદાશ્રી : સાપ મળ્યો હોય તોય માર્યા વગર જવા ના દે એવા પાટીદારો, એમને પણ દેખાય ત્યારે એ આત્મા કેવો પ્રાપ્ત થયો કહેવાય ! આ વર્લ્ડની અજાયબી કહેવાય ! એક કલાક પુણિયા શ્રાવકનું સામાયિક માટે શ્રેણિક રાજાનું રાજ દલાલીમાં જાય, તે આ એક કલાકની કિંમત કેટલી ? આ દાદાએ શું આપ્યું છે એ તમને સમજાઈ (પા.૫૪૦)ગયુંને ? પછી સ્વયં ખોતર ખોતર થાયઆખો દહાડો મારી જોડે બેસી રહ્યા છો તે ખોટ ગઈ નથી ? પ્રશ્નકર્તા : કશી ખોટ નથી ગઈ. દાદાશ્રી : ત્યારે શા હારુ મારી જોડે રખડતા નથી ? આમ દુનિયામાં રઝળવું તેના કરતાં અહીં રઝળવું શું ખોટું ? પ્રશ્નકર્તા : એ તો મોટો રઝળપાટ કહેવાય. આને રઝળપાટ ના કહેવાય. દાદાશ્રી : આખા બ્રહ્માંડનું રાજ આપ્યું છે. જે સાધુ-આચાર્યો કોઈ દહાડોય પામે નહીં, એ તમને આપ્યું છે. ‘હું શુદ્ધાત્મા છું’ કરીને પતંગ ઉડાડી આપી. આ તો આગળ ઉપર હિંસાનું સામાયિક કરાવેલું, તે ઘેર જાય તોય, સંડાસમાંય હિંસાના ને હિંસાના દોષો દેખાવાનું ચાલુ જ રહે મહીં, તે બંધ ના થાય. ત્રણ દહાડા સુધી ચાલુ રહેલું. ખોતર ખોતર ખોતર ખોતર થયા જ કરે. તે વિધિ કરીને બંધ કરાવેલું. અડતાળીસ મિનિટ જ શાને ?પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં સામાયિકમાં કોની આજ્ઞા લેવાની ? દાદાશ્રી : અમારી ગેરહાજરી હોતી જ નથી, અમે ત્યાં હાજર જ હોય. અને તમારે ત્યાં તો ગેરહાજર રહે જ નહીં. તમે તો બહુ ચોક્કસ પાકા ! પ્રશ્નકર્તા : સામાયિક ઓછામાં ઓછી કેટલો સમય કરાય ? દાદાશ્રી : ઓછામાં ઓછી આઠ મિનિટ ને વધારેમાં વધારે પચાસ મિનિટ. (પા.૫૪૧)પ્રશ્નકર્તા : આ સવારની સામાયિક કરીએ છીએ એમાં તો ૫૦ મિનિટ પછી સુખનો ઊભરો આવે છે. દાદાશ્રી : આવે જ ને ! કારણ કે આપેલો આત્મા છે અને અચળ આત્મા છે. લોકોની પાસે તો ચંચળ આત્મા છે અને તમારે તો આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો. એટલે ગજબ આનંદ આવે. જેટલી સ્થિરતા વધારે ઉત્પન્ન થાયને, એટલું સુખ વધારે આવે. પ્રશ્નકર્તા : સામાયિક અડતાળીસ મિનિટનું કેમ રાખ્યું ? દાદાશ્રી : સુડતાળીસ નહીં, અડતાળીસ મિનિટ. અરે, એક દહાડો જો અડતાળીસ મિનિટ રહ્યું તો થઈ ગયું. પ્રખર આત્મા, ફૂલ ટેસ્ટેડ ! આઠ મિનિટ મન-વચન-કાયા જેને બંધ થઈ જાય, તેને ભગવાને સામાયિકની શરૂઆત કહી ને આઠથી અડતાળીસ મિનિટ રહે તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઈને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક. ‘અક્રમ’માં સામાયિકપ્રશ્નકર્તા : સામાયિકમાં વિચારો આવે ને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બેઉ ચાલે, તે શું છે ? દાદાશ્રી : અહીં પાડોશમાં મિયાંભાઈની ઘાણી ચકડ ચકડ બોલતું હોય, ને તમે રેંટિયો કાંતતા હોય તો શું કરો ? તેમ આ મનનો ચક્કો ચાલ્યા જ કરશે. તમારે એને જોયા જ કરવાનો. ખરાબ વિચારો કે સારા વિચારો જોયા જ કરવાના છે. હવે પાડોશી હોય તેની વાણી કંઈ બંધ કરાય ? એનાથી ગભરાવાની જરૂર નથી. આપણે અહીં સત્સંગ કરતા હોઈએ. આ આપણે આપણી સ્ટડી રૂમમાં હોઈએ ને બહાર હુલ્લડ થાય તો તમારે શું ? મન જ્ઞેય થયું ને તમે જ્ઞાતા થયાં, એટલે મન વશ થઈ ગયું. અમારેય મન તો હોય, મોક્ષ થતાં સુધી મન તો હોય. પણ અમારું મન કેવું હોય ? સેકંડના કાંટાની જેમ ફર્યા કરે, અટકે નહીં. (પા.૫૪૨)અમારું મન બધું ખલાસ થયેલું. તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો મન ખલાસ થાય. પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિક અને નિશ્ચય સામાયિકમાં શો ફેર ? હિતકારી કયું ? દાદાશ્રી : નિશ્ચય સામાયિક ! વ્યવહાર સામાયિક મનથી થાય અને નિશ્ચય સામાયિક આત્માથી થાય. મનને એકાગ્ર કરવું ને બહાર દોડધામ ના કરવા દેવું તે વ્યવહાર સામાયિક. પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિકનું ફળ શું ? દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્ય. નિશ્ચય સામાયિક તે તમે શુદ્ધાત્મા છો એ ફરી નક્કી કરાવડાવે. ને પછી વિષયસંબંધી દોષો જોવા માંડે, તે ૩૫ વર્ષની ઉંમરથી ૩૪, ૩૩ તે ઠેઠ સુધી જોવા માંડે. પછી હિંસા સંબંધી, કષાય સંબંધી, આમાં ફક્ત આત્મા જ હોય. મન, બુદ્ધિ, બધું આઈડલ (નિષ્ક્રિય) રહે. જોયા કરવું એ સામાયિક કહેવાય ને આ સામાયિક પ્રતિક્રમણ કહેવાય. પ્રશ્નકર્તા : ખાલી સામાયિક કરવાથી ધોવાય કે પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. આ સામાયિક પ્રતિક્રમણ કહેવાય છે. સામાયિક એટલે બહારનો વ્યવહાર બંધ અને પ્રતિક્રમણ એટલે મહીં ચાલુ. પ્રશ્નકર્તા : સામાયિક બધા ભેગા થઈને અમે કરીએ છીએ, તો તેમાં દર વખતે શું કરવું ? દાદાશ્રી : વિષયનું વધારે કરવું. પહેલાં વિષયનું પ્રતિક્રમણ લો. તે તેને ઠેઠ સુધી જાય. પછી ઋણાનુબંધ પર લો. ઋણાનુબંધ એટલે આપણને જે જે ભેગાં થયાં હોય, તે બધાને યાદ કરીને પ્રતિક્રમણ કરો. (પા.૫૪૩)પછી હિંસા સંબંધી દોષો જોવાથી હિંસાના પરમાણુઓ ખાલી થઈ જાય. બ્રહ્મચર્યનું સામાયિક કરવાથી અબ્રહ્મચર્યના પરમાણુઓ ખલાસ થઈ જાય. ગ્રંથિઓ છે એમ ખબર પડે પણ વ્યવહારમાં સમજાય તેમ નથી. માટે અમે એ ગ્રંથિને સામાયિકમાં મૂકવા કહીએ છીએ. સામાયિકમાં એક ગ્રંથિને મૂકીને ઓગળવા જઈએ પણ મહીં બીજી ગાંઠો ફૂટે, વિચારો દેખાય. તે પેલી ગાંઠ પર ઉપયોગ મૂકવા ના દે. ત્યારે જે દેખાય તેને જોવું. પ્રશ્નકર્તા : આ સામાયિક પ્રતિક્રમણમાં દોષો જોવાને પ્રતિક્રમણ કર્યું તો એ દોષો ભોગવવા તો પડે ને ? દાદાશ્રી : ના, ધોવાઈ જાય. કેટલાક ચીકણા હોય તે રહે. પણ તે કેવા રહે, કે આ ભીંતે ચોંટેલા રહે પણ એ આમ અડતાંની સાથે જ ઊખડી જાય. પ્રશ્નકર્તા : સામાયિકમાં જે દ્રશ્યો દેખાય તે ટાઈમે તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? દાદાશ્રી : સામાયિકમાં જે દ્રશ્યો દેખાય એનું પ્રતિક્રમણ ના હોય. જે દેખાય એ તો ગયાં. પ્રતિક્રમણ તો દેખાય નહીં (દ્રષ્ટા થઈને જોયા નહીં, બીજાંને દુઃખ થયું), તેનું કરવાનું હોય. દ્રશ્ય જોયું એ તો ગયું. જોયું એટલે ચોખ્ખું થઈ ગયું. પ્રશ્નકર્તા : પણ ફરીથી દેખાયને એ ? દાદાશ્રી : ફરી તે બીજા દેખાય છે. આ ડુંગળી હોય તેવું એક પડ જતું રહે જોવાથી. પાછું ડુંગળી ને ડુંગળી દેખાય. પ્રશ્નકર્તા : પણ એનાં એ દ્રશ્યો દેખાય છે ને ? દાદાશ્રી : દ્રશ્યો એનાં એ ના દેખાય, બે વખત ના દેખાય. પ્રશ્નકર્તા : કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું (પા.૫૪૪)એના એ જ જીવનું પ્રતિક્રમણ કરવાનું રહે છે ? દાદાશ્રી : હા, આપણો મોટો દોષ હતો તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું. બીજાં બધાં લાખો પડ રહ્યાં. એનાં પડ ઊડે છે. એટલે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે. કોઈ માણસની જોડે આપણે મહિના-બે મહિનાનાં પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય, હિસાબ ચૂકતે. કોઈ માણસને આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છે તેનું એક પડ જાય એટલે પાછું ડુંગળી દેખાય ને ? એવી રીતે આ દોષોમાં પડ હોય છે બધાં, પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. એકનું પ્રતિક્રમણ એક જ હોય. હાજરી-ગેરહાજરીની અસરોપ્રશ્નકર્તા : આપણું આ જે પ્રતિક્રમણ ને સામાયિક કરીએ છીએ, તે વખતે દાદાની હાજરી હોય તો, આ જે અનુભવ થાય છે તે થાય કે અમસ્તું યે થાય ? દાદાશ્રી : ના, દાદાની હાજરી હોય તો વધારે સારું થાય. બહારનું કોઈનું અડે નહીં ને વાતાવરણ બહુ ઊંચું હોય ને ! અને હું જે કરું છું, ‘હું શુદ્ધાત્મા છું’ એય પાંચ-છ વાર બોલું છું ને એ બધું કામ કરે. અમારા શબ્દો બહુ કામ કરે. પ્રશ્નકર્તા : અને એ સિવાય પણ અસર તો રહે ને, દાદા ન હોય તો પણ ? દાદાશ્રી : કરી શકાય, કરી શકાય, પણ જરા આઘુંપાછું થાય એટલું જ. તોય બહુ થઈ ગયું, બે મિનિટ થાય તોય બહુ ! અમુકને તરત જ અનુભવ થાય. આપણે ત્યાં આ સામાયિક કરાવે છેને એ મોટો પુરુષાર્થ છે. આ સામાયિક એ આત્માનું વિટામિન છે. વ્યવહારમાં આ વિટામિન દેહનું લેવું પડે. એવું એ આત્માનું વિટામિન અને તમારે તો આખો દહાડો સામાયિક, આખી જિંદગી સામાયિક જ રહે. (પા.૫૪૫)ગાડી હાંકતા હાંકતા રહે કે ના રહે ? એવું હોવું જોઈએ. આત્મા પોતે જ સામાયિક છે. શક્તિઓ તો બધી અનંત છે પણ પ્રગટ થઈ નથી. ‘છૂટું’ પાડવાની સામાયિકઆજે છૂટું પાડવાની સામાયિક બતાડીએ છીએ. ચંદુભાઈ અને શુદ્ધાત્માને જુદા પાડવાની આ ઊંચામાં ઊંચી રીત છે. એ સામાયિકમાં તમારે આ પ્રમાણે બોલ્યા કરવાનું, ૧. ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે જુદા છો ને ચંદુભાઈ જુદા છે.’ ૨. ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે રીયલ છો અને ચંદભાઈ રિલેટિવ છે.’ ૩. ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે પરમનન્ટ છો અને ચંદભાઈ ટેમ્પરરી છે.’ આટલું અડતાલીસ મિનિટ બોલ્યા કરવું. ‘હું’ અને ‘ચંદુભાઈ’ બે જુદા જ છીએ એવું મને જુદા રહેવાની શક્તિ આપો. મને તમારા જેવું જુદા રહેવાની શક્તિ આપો અને ચંદુભાઈ જુદા રહે. હે દાદા ભગવાન ! તમારી કૃપા વરસો. ‘ચંદુભાઈ શું કરે છે ?’ એને હું જોઉ અને જાણું એ જ મારું કામ. એમાં તમારે જે કાંઈ શક્તિઓ ખૂટતી લાગતી હોય તે સામાયિકમાં શુદ્ધાત્મા ભગવાન પાસે મંગાય. આનાથી તદ્દન છૂટું જ પડી જશે. દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે પાંચ-પચીસ વાર આ ત્રણ વાક્યો બોલી નાખશો, તોય તરત મહીં બધું છૂટું પડી જશે ને ક્લિયર (ચોખ્ખું) થઈ જશે બધું. અરીસા સામાયિકઅરીસામાં ચંદુભાઈ સામા દેખાય. એમાં એક આત્મા છે અને સામા ઊભા છે એ ચંદુભાઈ છે. આપણે એમને કહ્યું કે, ‘ચંદુભાઈ, (પા.૫૪૬)આવી આવી ભૂલો ક્યાં સુધી કરશો ?’ ‘જરા તમને ઠપકો આપવા જેવો છે’ એમેય કહીએ. તમે કોઈ દહાડો અરીસામાં જોઈને ચંદુભાઈને ઠપકો આપો છો ? આપણે અરીસામાં ચંદુભાઈને સામાં બેસાડીને કહીએ કે, ‘તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શાને માટે કરો છો ?’ આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે ? એના કરતાં તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારા મનમાં શું થાય ? દાદા મારી જોડે પાડોશમાં છે તેમને નથી કહેતા ને મને શું કરવા કહે છે ? માટે આપણે જાતે જ ઠપકો આપીએ. પારકાની ભૂલો કાઢતાં બધીય આવડે અને પોતાની એકુય ભૂલ કાઢતાં નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી, તમારે તો ‘ચંદુભાઈ’ને વઢવાનું જ છે જરા. તમે તો ‘ચંદુભાઈ’ની ભૂલો જાણી ગયા છો. એટલે હવે ‘તમારે’ ચંદુભાઈને ઠપકો આપવાનો છે, પાછાં ચંદુભાઈ ‘માની’ છે, બધી રીતે ‘માનવાળા’ છે. એટલે એને જરા પટાવીએ તો બધું કામ થાય. હવે આ વઢવાનો અભ્યાસ આપણે ક્યારે કરીએ ? આપણે ઘેર એક-બે માણસો વઢનારા રાખીએ પણ એ સાચું વઢનારા ના હોયને ! સાચું વઢનારા હોય તો જ પરિણામ આવે. નહીં તો જૂઠું-બનાવટી વઢનારું હોય તો પરિણામ ના આવે. આપણને વઢનારું હોય તો આપણે એનો લાભ લેવો જોઈએ. આ તો આવું ગોઠવતાં આવડતું નથીને ? પ્રશ્નકર્તા : વઢનારા હોય તો આપણને ગમે નહીં. દાદાશ્રી : એ નથી ગમતા, પણ રોજના વઢનારા લાગુ થયા હોય પછી તો આપણને નિકાલ કરતાં આવડેને બળ્યું કે આ રોજનું લાગ્યું છે, તો ક્યાં પત્તો પડશે ? એના કરતાં આપણે આપણી ‘ગુફામાં’ પેસી જાવને ! (પા.૫૪૭)પ્રશ્નકર્તા : આપે કહ્યું છે કે હું જીવ નથી પણ શિવ છું પણ એ જુદું પડતું નથી. દાદાશ્રી : એ એનો ભાવ છોડે નહીં ને ! એ એના હક્ક છોડે કે ? એટલે આપણે એને સમજાવી સમજાવીને, પટાવી પટાવીને કામ લેવું પડે. કારણ કે એ તો ભોળું છે. પુદ્ગલનો સ્વભાવ કેવો છે ? ભોળો છે. તે એને આમ કળામય કરીએ તો એ પકડાઈ જાય. જીવ ને શિવ ભાવ બન્ને જુદા જ છેને ! હમણાં જીવભાવમાં આવશે તે ઘડીએ બટાકાવડા બધું ખાશે અને શિવભાવમાં આવશે ત્યારે દર્શન કરશે ! પ્રશ્નકર્તા : પણ જીવનું મન સ્વતંત્ર છે ? દાદાશ્રી : બિલકુલ સ્વતંત્ર છે. મન તમારા સામું થાય તે જોયેલું કે નહીં તમે ? અલ્યા, ‘મારું’ મન હોય તો એ સામું શી રીતે થાય ? એ સ્વતંત્ર છે કે નહીં, એવું સામું થાય ત્યારે ખબર પડી જાય ! પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ નથી એટલે મન ઉપરેય કંટ્રોલ નથી. દાદાશ્રી : જે સામું થાય એના પર આપણો કંટ્રોલ નથી. પહેલાં તો તમે ‘હું જીવ છું’ એવું માનતા હતા. હવે એ માન્યતા તૂટી ગઈ છે ને ‘હું શિવ છું’ એવી ખબર પડી ગઈ પણ જીવ કંઈ એમનો ભાવ છોડે નહીં, એમનો હક્ક-બક્ક કશુંય છોડે નહીં. પણ એમને જો પટાવીએ તો એ બધુંય છોડે તેમ છે. જેમ કુસંગ અડે છે ત્યારે કુસંગી થઈ જાય છે ને સત્સંગ અડે ત્યારે સત્સંગી થઈ જાય છે, તેમ સમજણ પાડીએ તો એ બધું જ છોડી દે એવો ડાહ્યો છે પાછો ! હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે કે, ‘તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો !’ પણ જોડે બીજી સમજણ પાડવી, ને સલાહ આપવી કે, ‘દેહનું બહુ ધ્યાન શું કામ રાખો છો ? દેહમાં આ આમ થાય છે તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ (પા.૫૪૮)ઉપર આમ આવી જાવને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.’ એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ સામે બેસાડ્યા હોય તો તમને ‘એક્ઝેક્ટ’ દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે. દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ એટલે કોઈ બીજો ફોન લે જ નહીંને ! પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું ? દાદાશ્રી : તું ‘ચંદુભાઈ’ને સામે બેસાડીને વઢ વઢ કરતા હોય તો ‘ચંદુભાઈ’ બહુ ડાહ્યો થઈ જાય. તું જાતે જ વઢું કે, ‘ચંદુભાઈ, આવું તે હોય ? આ તેં શું માંડ્યું છે ? ને માંડ્યું તો હવે પાંસરું માંડ ને !’ આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો’ક લપકાં કરતું હોય, તે સારું લાગતું હશે ? તેથી અમે તને ‘ચંદુભાઈ’ને વઢવાનું કહીએ, નહીં તો હપૂચું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! આ પુદ્ગલ શું કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા પણ અમારું શું ? એ દાવો માંડે છે, એ પણ હક્કદાર છે. એ પણ ઈચ્છા રાખે છે કે અમારે પણ કંઈક જોઈએ છે. માટે તેને અટાવીપટાવી લેવું. એ તો ભોળું છે. ભોળું એટલા માટે કે મૂરખની સંગત મળે તો મૂરખ થઈ જાય ને ડાહ્યાની સંગત મળે તો ડાહ્યું થઈ જાય. ચોરની સંગત મળે તો ચોર થઈ જાય ! જેવો સંગ એવો રંગ ! પણ એ પોતાનો દાવો છોડે તેવું નથી. તારે ‘ચંદુભાઈ’ને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોઢું બધું જ દેખાય. પછી આપણે ‘ચંદુભાઈ’ને કહીએ, ‘તેં આમ કેમ કર્યું ? તારે આમ નથી કરવાનું. વાઈફ જોડે મતભેદ કેમ કરે છે ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?’ આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપ એક-એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તને ચંદુભાઈની બધી જ ભૂલોની (પા.૫૪૯)ખબર પડે ને ? જેટલી ભૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુભાઈને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક ! પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો તે ના થઈ શકે ? દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તને ચંદુભાઈ દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું એ તો ‘જ્ઞાનીપુરુષ’નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડેને ? અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસાભવન બનાવેલું ! અને અત્યારે તો એય મોટા મોટા અરીસા બધે દેખાય ! આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે તો બહુ કામ નીકળી જાય એવું છે. પણ કોઈ કરતું નથી ને ? અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય. ભરત રાજાને ઋષભદેવ ભગવાને ‘અક્રમ જ્ઞાન’ આપ્યું ને છેવટે તેમણે અરીસાભવનનો આશરો લીધો ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસાભવનમાં વીંટી નીકળી ગયેલી આંગળીને અડવી દીઠી, ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગળી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે. તેથી વીંટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ ‘કેવળ’ થતાં સુધી ચાલ્યું ! વિચારણાએ ચઢ્યા કે વીંટીને આધારે આંગળી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું ? તે પછી આ ‘ન્હોય મારું, ન્હોય મારું, ન્હોય મારું’ એમ કરતાં કરતાં ‘કેવળજ્ઞાન’ને પામ્યા !!! એટલે આપણે અરીસાભવનનો લાભ લેવો. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ છે. જે કોઈ (પા.૫૫૦)આનો લાભ લે તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડે ને ! ભલે આત્મા જાણતો ના હોય છતાંય અરીસાભવનની સામાયિક ફક્કડ થાય. ઠપકા સામાયિકપોતાની રૂમમાં જઈને ‘ચંદુભાઈ, તું શું સમજે છે ? ચંદુભાઈ તારા ડાબા હાથે જમણા ગાલને ધોલ માર.’ એમ આપણે કહેવું. એક છોકરાને ક્રોધ જતો નહોતો. તે એ છોકરાને મેં કહ્યું, ‘ટૈડકાવ, આખો દહાડો બિચારો પ્રતિક્રમણ કરે તોય એ ગાંઠે નહીં એ પ્રતિક્રમણને, એ તો નિરાંતે પાછો હતો તેવો ને તેવો.’ ત્યારે મેં કહ્યું, ‘ટૈડકાવ.’ ત્યારે કહે, ‘શી રીતે ટૈડકાવું ?’ મેં કહ્યું, ‘અગાશીમાં જઈને ટૈડકાવ.’ પછી એણે ભાઈને (ફાઈલ નં. ૧ને) જે ટૈડકાવ્યો, પોતે શુદ્ધાત્મા અને ભાઈને જે ટૈડકાવ્યો, ‘અરે, તું શું સમજું છું ?’ તે ભાઈ રડી પડ્યો. પોતે ટૈડકાવનાર ને પોતે રડી પડ્યો અને આત્મા જુદો થઈ ગયો ઉલટો ! ટૈડકાવે ત્યાં આત્મા જુદો થઈ ગયો. એટલે તમે રૂમમાં બેસીને ટૈડકાવજો. સારો કરીને તું યે ટૈડકાવજે થોડુંક. ઠપકા સામાયિક અમારી આજ્ઞા લઈને જ કરવું. તો જ પ્રજ્ઞા રહે, નહીં તો બીજું કશું ચોંટી પડે તો વેહ થઈ પડે. પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગ બતાવો છોને, અરીસામાં સામાયિક કરવાની, પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બતાવો ત્યારે સારો લાગે છે, પછી બે-ત્રણ દિવસ સારું ચાલે છે. પછી એમાં કચાશ આવી જાય છે. દાદાશ્રી : કચાશ આવે ત્યારે ફરીથી નવેસરથી કરવું. જૂનું થાય એટલે બધી કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય. પાછી નવી કરીને મૂકી દેવાની. પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જે કાર્ય સિદ્ધ થવું જોઈએ, એ થતું નથી અને એ પ્રયોગ પૂરો અધવચ્ચે થઈ જાય છે. (પા.૫૫૧)દાદાશ્રી : એ એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય. પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધૂરો રહ્યો એટલે પછી બીજો પ્રયોગ કરીએ. એ અધૂરો મૂકીને ત્રીજો પ્રયોગ કરીએ, હમણાં અધૂરો છે, એટલે બધા અધૂરા રહે છે. દાદાશ્રી : આપણે એ પ્રયોગ ફરી પૂરા કરવા ધીમે ધીમે કરીને. હજુ પણ પ્રયોગ પૂરો નથી થયો ? સામાયિક, ‘નથી થતી, નથી થતી’નીપ્રશ્નકર્તા : મારાથી સામાયિક ક્યારેય નથી થતી. દાદાશ્રી : તારે ‘નથી થતી, નથી થતી’, એનું સામાયિક કરી નાખવું. એક ધ્યાનમાં હતા કે બેધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા, તે બેધ્યાનમાં ન હતા. ‘નથી થતું’ એનું ધ્યાન કર્યું. પેલાએ ‘થતું હતું’ એનું ધ્યાન કર્યું. બીજી કશી ભાંજગડ છે નહીં. આ તો એનું એ જ છે. આમ એક જ વસ્તુ છે, આમ જુએ તો ને આમ જુએ તો. આપણે આમ ન ફરીએ તો બેક (પૂંઠ) પેલું કહેવાય અને પેલી બાજુ ફર્યા તો બેક આમ કહેવાય. અમે તો આવું ઊંધું ચલાવીએ કે ‘નથી થતી’. જો એની જગ્યાએ હું હોઉં તો હું ક્યારનો બેસી જાઉં, ‘નથી થતી, નથી થતી.’ એટલે અંતરાય-બંતરાય બધુંય જતું રહે. અંતરાય કહે, આમને જિતાય નહીં. આ તો અવળું ફરીને બેઠા. આ દિશા વાંકી પડી તો આપણે આમ ફરી ગયા. પછી એ દિશા તરફ સીધા જાય ત્યારે આ વાંકું થાય, તો પેલી બાજુ ફરી જઈએ. દિશાઓ ફર્યા કરવાની. એટલે આ બધું એકનું એક છે. પણ એમાં બે ન થવું જોઈએ. ત્યાં આગળ ઘર સાંભરે એવું ના થવું જોઈએ. ‘નથી થતું, નથી થતું’ એ જ ધ્યાન હોવું જોઈએ. આ દાદાના ધોળા વાળ આખાય દેખાય. કો’કને ધ્યાનમાં આખા કાળા દેખાય. એનો કોઈ વાંધો આવતો નથી. આપણે (પા.૫૫૨)કામ શું છે ? એકાગ્ર ધ્યાન હતું કે નહીં ? ધ્યાન ક્યારે કહેવાય ? એકાગ્ર થાય તો એક જ વસ્તુ અને આ બધા રામ રામ બોલે છે તે એ ધ્યાન ન હોય. અને આ ધ્યાન તો દાદાઈ ધ્યાન કહેવાય. એ તો અજાયબી કહેવાય ! ધ્યાન કરનાર ‘ચંદુભાઈ’, ધ્યાનનો અનુભવ કરનાર ‘ચંદુભાઈ’ ને જાણનાર આત્મા, એટલે તું જાણે કે ધ્યાન બરાબર ‘થતું નથી, થતું નથી’ અને પેલો જાણે કે ‘થાય છે, થાય છે’. એટલે બધાય માર્ગ ખુલ્લા થયેલા હોય. જો જ્ઞાન હોયને તો બધાય માર્ગ ખુલ્લા ને જો જ્ઞાન નથી તો એક જ માર્ગ ખુલ્લો છે ને બીજા માર્ગે જશે તો ભ્રષ્ટાચાર થઈ જશે. એમાં ‘જોયો’ ‘જોનારા’નેસામાયિકમાં ‘તમે’ ‘જોનારા’ને જોયો ! આ સામાયિકમાં બધાં દોષો ધોવાઈ જાય ! સામાયિક વખતે આત્મા તમે પોતે અને આ જોનારનેય તમે જોયો, અંદરથી ! નહીં તો માણસમાં આટલી યાદ કરવાની શક્તિ તો હોય જ નહીં ને ! આ તો બધું પડે પડ જોઈ લે. થોડુંઘણું તમને મહીં ભાસ પડ્યો કે નહીં ? એમ ? શું વાત કરો છો ? કહેવું પડે ! તમારે કેમનું છે મહીં ? થોડું ઘણું રાગે પડ્યું હતું ? આ તમને સામાયિકનો લાભ મળી ગયો. કારણ કે આ સામાયિક તો આત્મ સામાયિક કહેવાય. અને વ્યવહાર સામાયિક એટલે શું ? આ બહાર જે સામાયિક કરે છે તે મનને સ્થિર કરવાનું સામાયિક. તેય પૂરું મન સ્થિર થાય તો ઉત્તમ અને અહીં આ તો મનની વાત જ નહીં ને ! આ તો પુણિયા શ્રાવકનાં સામાયિક બધાં ! પ્રશ્નકર્તા : આપે પેલું હમણાં કહ્યુંને કે આ સામાયિકમાં જોનારાને જુએ છે તો એ જરા સમજાયું નહીં. દાદાશ્રી : આત્મા સિવાય બુદ્ધિની શક્તિ છે એટલે બહારની (પા.૫૫૩)વસ્તુને જોઈ શકે, સંસારી વસ્તુઓને જોઈ શકે. અને આ બધા દોષોને ‘એ’ જુએ. એટલે આ જાણવાની શક્તિ આત્માની. આત્મા સ્વ-પર પ્રકાશક છે. એટલે એ જોઈ શકે છે. પોતાનેય જુએ છે અને પારકાનેય જુએ છે. સ્વ-પર પ્રકાશક એટલે સંસારનેય પ્રકાશી શકે અને પોતાની જાતનેય પ્રકાશી શકે. બન્ને જોઈ શકે. પ્રશ્નકર્તા : પણ તમે તો એમ કહ્યું કે જોનારાને એ જુએ. દાદાશ્રી : હા, એટલે ત્યાં ખરેખર આ મૂળ આત્મા જ કામ કરે છે. એટલે અમે જુદું પાડ્યું. સ્વ-પર પ્રકાશક જે છે તે જ કામ કરી રહ્યું છે. માટે એ સ્વ-પર પ્રકાશકની તમને ખાતરી થઈ કે આ સ્વ-પર પ્રકાશક મહીં છે અને કાર્ય કરી રહ્યો છે તે આપણે જોયું. જોનારને જોયો હવે. જોનારને જોવામાં બીજો અભ્યાસ નથી થતો. પણ અહીં આગળ આપણને ખાતરી થઈ કે આ કોણે જોયું ? એટલે આપણે ખોળીએ કોણ ? ત્યારે કહે, જોનારને. એટલે કહ્યું, જોનારને જોયો આપણે ! પ્રશ્નકર્તા : આપને ચોવીસેય કલાક સામાયિક જ હોય ને ? દાદાશ્રી : હા, સામાયિક તો હોય જ. સામાયિક તો સ્વભાવિક જ છે ને ! કારણ કે આત્મા જ સમ છે અને એ પોતે જ સામાયિક છે. આત્મા સ્વભાવમાં આવ્યો એટલે સામાયિક જ છે. પણ જ્ઞાનીપુરુષને સામાયિકથી ઉપર છે. તે એમને બીજા ગુણો, બધા બહુ ગુણો પ્રગટ હોય, સ્વભાવિક ગુણો હોય. આત્મા એ જ સામાયિકસામાયિકના કર્તા તમે નથી, પ્રતિક્રમણના કર્તા તમે નથી. આ તો ઉદયકર્મ કરાવે છે અને આ લોકો, બધા સાધુઓ અણસમજણથી કહે છે, ‘મેં કર્યું, હું કરું છું.’ એ બધું અજ્ઞાન પેસી ગયું છે. પ્રશ્નકર્તા : સમભાવ એટલે સામાયિક, હવે જો સમભાવમાં રહેવાય તો પછી આ સામાયિક કરવી જોઈએ ? (પા.૫૫૪)દાદાશ્રી : અરે, આત્મા એ જ સામાયિક. આ તમને જ્ઞાન પ્રાપ્ત થયું અને મારી આજ્ઞામાં રહો તો આખો દહાડો સામાયિક કહેવાય. અને બીજું આ સામાયિક કરવાનું નથી. આ તો ફક્ત પાછલા દોષ ધોવા માટેનું છે. મોટું પ્રતિક્રમણ છે આ એક જાતનું ! આ પાછળ જે દોષ થયા હોય તે બધાને ધોઈ નાખે. તેને આ લોકો સામાયિક કહે છે. બાકી, આત્મા એ જ સામાયિક અને આત્મા પ્રાપ્ત થયે આખો દિવસ સામાયિકમાં જ રહી શકાય ! જય સચ્ચિદાનંદ રત્નકણિકાઓજગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષથી. ક્રમણનો વાંધો નથી પણ અતિક્રમણ થાય, તેનું ‘પ્રતિક્રમણ’ કરવું પડે. ‘અતિક્રમણ’ થવું એ સ્વાભાવિક છે. ‘પ્રતિક્રમણ’ કરવું એ આપણો ‘પુરુષાર્થ’ છે. કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે. ઘર્ષણની પાછળ પ્રતિક્રમણ કરીએ એટલે ઘર્ષણ ભૂંસાઈ જાય. નવું ઘર્ષણ ઊભું કરીએ તો આવેલી શક્તિ પાછી જતી રહે. માણસનો દોષ થવો સ્વાભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલાં ‘જ્ઞાની પુરુષ’ જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ’. જગતના લોકો માફી માગી લે છે, એથી કંઈ ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં ‘સોરી’, ‘થેન્કયુ’ કહે, એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ‘આલોચના-પ્રતિક્રમણ- પ્રત્યાખ્યાન’નું છે. ‘પ્રતિક્રમણ’ જો તરત જ રોકડું થઈ જાય, તે ભગવાનપદમાં આવી જાય તેમ છે ! સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ ‘પ્રતિક્રમણ દોષ’ બાકી છે તેથી. જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં ‘પ્રતિક્રમણ’ થાય. આપણે જે શબ્દ બોલીએ છીએ તે નથી બોલવો છતાં બોલાઈ જાય છે. પ્રકૃતિ નાચે છે ને આવું તોફાન ઊભું થઈ જાય છે. તે કેટલાંય ‘પ્રતિક્રમણ’ થાય ત્યારે એ પ્રકૃતિ બંધ થાય ! ‘પ્રતિક્રમણ’ કરવાથી શું થાય ? આપણી ડખલ કરેલી, તેનું જે ‘રીએક્શન’ આવે, તેના ઉપર આપણને ફરી ડખલ કરવાનું મન ના થાય ! જેનાં ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન’ સાચાં હોય, તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. |