દાદા ભગવાન કથિત

પ્રેમ

સંકલન : ડૉ. નીરુબેન અમીન

Table of Contents
સંપાદકીય
પ્રેમ

સંપાદકીય

પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે આને તે કંઈ પ્રેમ કહેવાય ? પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે ? સાચો પ્રેમ ક્યાં મળશે ? સાચો પ્રેમ કોને કહેવો ?

પ્રેમની યથાર્થ વ્યાખ્યા તો પ્રેમમૂર્તિ જ્ઞાની જ આપે. વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જે ચઢી જાય ને ઉતરી જાય એ પ્રેમ નહીં પણ આસક્તિ કહેવાય ! જેમાં કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, ઘાટ નથી કે દોષદ્રષ્ટિ નથી, નિરંતર એકધારો વહે, ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી, એવો અઘટ અને અઘાટ પ્રેમ એ જ સાક્ષાત્ પરમાત્મ પ્રેમ છે ! એવા અનુપમ પ્રેમનાં દર્શન તો જ્ઞાની પુરુષમાં કે સંપૂર્ણ વીતરાગ ભગવાનમાં થાય.

મોહને પણ આપણા લોકો પ્રેમ માને ! મોહમાં બદલાની આશા હોય ! એ ના મળે ત્યારે જે મહીં વલોપાત થાય, તેના ઉપરથી ખબર પડે કે આ શુદ્ધ પ્રેમ નહોતો ! પ્રેમમાં સિન્સિયારિટી હોય, સંકુચિતતા ના હોય. માનો પ્રેમ વ્યવહારમાં ઉચ્ચ પ્રકારનો કહ્યો છે. છતાં પણ ત્યાંય ખૂણેખાંચરે અપેક્ષા ને અભાવ આવે છે. મોહ હોવાને કારણે આસક્તિ જ કહેવાય !

છોકરો બારમામાં નેવું ટકા માર્કસ લાવ્યો હોય તો મા-બાપ ખુશ થઈને પાર્ટી આપે ને છોકરાની હોશિયારીના વખાણ કરતાં ના થાકે ! અને એને સ્કૂટર લાવી આપે. એ જ છોકરો ચાર દહાડા પછી સ્કૂટર અથાડી લાવે, સ્કૂટરનો કચ્ચરઘાણ કરી નાખે તો એ જ મા-બાપ એને શું કહે ? અક્કલ વગરનો છે, મૂરખ છે, હવે તને કશું નહીં મળે ! ચાર દાહાડમાં તો સર્ટિફિકેટ પાછું લઈ લીધું ! પ્રેમ બધો જ ઉતરી ગયો ! આને તે કંઈ પ્રેમ કહેવાય ?

વ્યવહારમાંય બાળકો, નોકરો કે કોઈ પણ પ્રેમથી જ વશ થઈ શકે, બીજા બધા હથિયાર નકામા નીવડે અંતે તો !

આ કાળમાં આવા પ્રેમનાં દર્શન હજારોને પરમાત્મ પ્રેમ સ્વરૂપ શ્રી દાદા ભગવાનમાં થયાં. એક વખત જે કોઈ એમની અભેદતા ચાખી ગયો, તે નિરંતર તેમના નિદિધ્યાસનમાં કે તેમની યાદમાં રહે છે, સંસારની સર્વે જંજાળોમાં જકડાયેલો હોવા છતાં પણ !

હજારો લોકોને પૂજ્યશ્રી વર્ષોનાં વર્ષોથી એક ક્ષણ પણ વીસરાતા નથી એ આ કાળનું મહાન આશ્ચર્ય છે !! હજારો લોકો તેઓશ્રીના સંસર્ગમાં આવ્યા, પણ તેમની કરુણા, તેમનો પ્રેમ દરેક પર વરસતો બધાએ અનુભવ્યો. દરેકને એમ જ લાગે કે મારા પર સૌથી વધારે કૃપા છે, રાજીપો છે !

અને સંપૂર્ણ વીતરાગોના પ્રેમનો તો વર્લ્ડમાં જોટો જ ના જડે ! એક ફેરો વીતરાગના, તેમની વીતરાગતાના દર્શન થઈ જાય ત્યાં પોતે આખી જિંદગી સમર્પણ થઈ જાય. એ પ્રેમને એક ક્ષણ પણ ભૂલી ના શકે !

સામેની વ્યક્તિ કેમ કરીને આત્યંતિક કલ્યાણને પામે એ જ નિરંતર લક્ષને કારણે આ પ્રેમ, આ કરુણા ફલિત થતી જોવાય છે. જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધયો નથી, અનુભવ્યો નથી, એવો પરમાત્મ પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા. બાકી, એ શબ્દમાં શી રીતે સમાય ?

- ડૉ. નીરુબહેન અમીન

‘દાદા ભગવાન’ કોણ ?

જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !

એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

(પા.૧)

પ્રેમ

પ્રેમ, શબ્દ અલૌકિક ભાષાનો !

પ્રશ્નકર્તા : વાસ્તવિકતામાં પ્રેમ વસ્તુ શું છે ? મારે એ વિગતવાર સમજવું છે.

દાદાશ્રી : જગતમાં આ જે પ્રેમ બોલાય છે ને, એ પ્રેમને નહીં સમજવાથી બોલે છે. પ્રેમની વ્યાખ્યા હોય કે ના હોય ? શું ડેફિનેશન છે પ્રેમની ?

પ્રશ્નકર્તા : કોઈ એટેચમેન્ટ કહે, કોઈ વાત્સલ્ય કહે. ઘણી જાતના પ્રેમ છે.

દાદાશ્રી : ના. ખરેખર જેને પ્રેમ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા તો હશે જ ને ?

પ્રશ્નકર્તા : મારે તમારી આગળ કશી ફળની આશા ન હોય, એને આપણે ખરો પ્રેમ કહી શકીએ ?

દાદાશ્રી : એ પ્રેમ જ ના હોય. પ્રેમ સંસારમાં હોય નહીં. એ અલૌકિક તત્ત્વ છે. સંસારમાં જ્યારથી અલૌકિક ભાષા સમજતો થાય ત્યારથી એ પ્રેમનું ઉપાદાન થાય.

પ્રશ્નકર્તા : આ જગતમાં પ્રેમનું તત્ત્વ જે સમજાવ્યું છે તે શું છે ?

દાદાશ્રી : જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો

(પા.૨)

શબ્દ છે, તે લોક વ્યવહારમાં આવેલો છે. બાકી, આપણા લોકો, પ્રેમને સમજતા જ નથી.

આમાં સાચો પ્રેમ ક્યાં ?

તમારામાં પ્રેમ ખરો ?

તમારા છોકરા ઉપર તમને પ્રેમ છે કે ?

પ્રશ્નકર્તા : હોય જ ને !

દાદાશ્રી : તો પછી મારો ખરા કોઈ દહાડો ? કોઈ દહાડો માર્યાં નથી છોકરાંને ? વઢ્યાય નથી ?

પ્રશ્નકર્તા : એ તો કોઈક વાર વઢવું તો પડે જ ને !

દાદાશ્રી : ત્યારે પ્રેમ એવી ચીજ છે કે દોષ ના દેખાય. માટે દોષ દેખાય છે એ પ્રેમ નહોતો. એવું તમને લાગે છે ? મને આ બધા પર પ્રેમ છે. કોઈનોય દોષ મને દેખાયો નથી અત્યાર સુધી. તો તમારો પ્રેમ કોની પર છે એ કહોને મને ? તમે કહો છો ‘મારી પાસે પ્રેમની સિલક છે’ તો ક્યાં આગળ છે ?

સાચો પ્રેમ હોય અહેતુકી !

પ્રશ્નકર્તા : પછી તો ઈશ્વર માટેનો પ્રેમ એ જ પ્રેમ કહેવાય ને ?

દાદાશ્રી : ના. ઈશ્વર માટેનોય પ્રેમ નથી તમને ! પ્રેમ વસ્તુ જુદી છે. પ્રેમ કંઈ પણ હેતુ વગરનો હોવો જોઈએ, અહેતુકી હોવો જોઈએ. ઈશ્વર જોડે પ્રેમ, તો બીજા જોડે કેમ પ્રેમ નથી કરતા ? એમનું કંઈક કામ છે તમને ! ‘મધર’ જોડે પ્રેમ છે, તે કંઈક કામ છે. પણ પ્રેમ અહેતુકી હોવો જોઈએ. આ મને તમારી પરેય પ્રેમ છે અને આ બધા પરેય પ્રેમ છે પણ મને હેતુ નથી આમાં કંઈ પાછળ !

નથી સ્વાર્થ પ્રેમમાં !

બાકી, આ તો જગતમાં સ્વાર્થ છે. ‘હું છું’ એવો અહંકાર છે ત્યાં

(પા.૩)

સુધી સ્વાર્થ છે અને સ્વાર્થ રહ્યો ત્યાં પ્રેમ હોય નહીં. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ રહી શકે નહીં, ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ રહી શકે નહીં.

એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? ‘મારી-તારી’ ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. ‘મારું-તારું’ છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને ‘મારું-તારું’ જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને લઈને ‘મારું-તારું’ થયું. ‘મારા-તારા’ને લીધે સ્વાર્થ છે ને સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ના હોય. અને ‘મારી-તારી’ ક્યારે ના હોય ? ‘જ્ઞાન’ હોય ત્યારે ‘મારી-તારી’ ના હોય. ‘જ્ઞાન’ વગર તો ‘મારી-તારી’ ખરી જ ને ? તો પણ આ સમજાય એવી વસ્તુ નથી.

જગતના લોકો પ્રેમ કહે છે તે ભ્રાંતિ-ભાષાની વાત છે, છેતરવાની વાત છે. અલૌકિક પ્રેમની હૂંફ તો બહુ જુદી જ હોય. પ્રેમ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.

ઢાઈ અક્ષર પ્રેમકા...

તેથી તો કબીર સાહેબે કહ્યું,

‘‘પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,

ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.’’

પ્રેમના અઢી અક્ષર આટલું સમજે તો બહુ થઈ ગયું. બાકી, પુસ્તક વાંચે તેને તો કબીર સાહેબે આવડી આવડી આપી કે આ પુસ્તક તો પઢીને જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં ને રખડી મર્યો. એટલે પુસ્તકમાં તો આમ જો જો કરે ને, એ તો બધું મેડનેસ વસ્તુ છે. પણ જો અઢી અક્ષર પ્રેમનો જાણ્યો કે પંડિત થઈ ગયો એવું કબીર સાહેબે કહ્યું. કબીર સાહેબની વાત સાંભળી બધી ?

પ્રેમ હોય તો કોઈ દહાડો છૂટા પડે નહીં. આ તો બધો ઘાટવાળો પ્રેમ છે. ઘાટવાળો પ્રેમ એ પ્રેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : એને આસક્તિ કહેવાય ?

(પા.૪)

દાદાશ્રી : છે જ આસક્તિ. અને પ્રેમ તો અનાસક્ત યોગ છે. અનાસક્ત યોગથી સાચો પ્રેમ ઉત્પન્ન થાય.

પ્રેમની યથાર્થ વ્યાખ્યા !

દાદાશ્રી : વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ ?

પ્રશ્નકર્તા : મને ખબર નથી. એ સમજાવો.

દાદાશ્રી : અરે, હું જ નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ખોળતો હતો ને ! મને થયું, પ્રેમ શું હશે ? આ લોકો ‘પ્રેમ પ્રેમ’ કર્યા કરે છે તે પ્રેમ શું હશે ? તે પછી બધા પુસ્તકો જોયાં, બધાં શાસ્ત્રો વાંચ્યાં, પણ પ્રેમની વ્યાખ્યા કોઈ જગ્યાએ જડે નહીં. મને અજાયબી લાગી કે કોઈ શાસ્ત્રોએ પ્રેમ શું છે એવી વ્યાખ્યા જ નથી કરી ! પછી જ્યારે કબીર સાહેબનું પુસ્તક જોયું ત્યારે દિલ ઠર્યું કે પ્રેમની વ્યાખ્યા તો આમણે કરી છે. એ વ્યાખ્યા મને કામ લાગી. એ શું કહે છે કે,

‘‘ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય

અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.’’

એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, ‘કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે !’ આ સાચામાં સાચો પ્રેમ. ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ કોનું નામ કહેવાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : છતાંય જગતમાં ક્યાંક તો પ્રેમ હશે ને ?

દાદાશ્રી : કોઈ જગ્યાએ પ્રેમ જ નથી. પ્રેમ જેવી વસ્તુ જ આ જગતમાં નથી. બધી આસક્તિ જ છે. અવળું બોલીએ ને, ત્યારે તરત ખબર પડી જાય.

(પા.૫)

હમણે આજ ભાઈ આવ્યા વિલાયતથી, તે આજ તો એની જોડે ને જોડે બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું-ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહેશે, ‘નોનસેન્સ જેવા થઈ ગયા છો.’ એટલે થઈ રહ્યું ! અને ‘જ્ઞાની પુરુષ’ને તો સાત વખત ‘નોનસેન્સ’ કહે તોય કહેશે, ‘હા, ભાઈ, બેસ, તું બેસ.’ કારણ કે ‘જ્ઞાની’ પોતે જાણે છે કે આ બોલતો નથી, આ રેકર્ડ બોલી રહી છે.

આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જ્યાં પ્રેમમાં, પ્રેમની પાછળ દ્વેષ છે, એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે ? એકધારો પ્રેમ હોવો જોઈએ.

‘પ્રેમ’, ત્યાં જ પરમાત્મા !

પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ એટલે વધઘટ ના થાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ વધઘટ ના થાય એવો જ હોય. આ તો પ્રેમ થયેલો હોય તો જો કદી ગાળો ભાંડીએ તો એની જોડે ઝઘડો થઈ જાય, અને ફૂલો ચઢાવીએ તો પાછો આપણને ચોંટી પડે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં ઘટે-વધે એવી રીતે જ હોય.

દાદાશ્રી : આ લોકોનો પ્રેમ તો આખો દહાડો વધઘટ જ થયા કરે ને ! છોકરા-છોડીઓ બધાં પર જો વધઘટ જ થયા કરે ને ! સગાંવહાલાં, બધેય વધઘટ જ થાય છે ને ? અરે, પોતાની જાત ઉપરેય વધઘટ જ થયા કરે ને ! ઘડીમાં અરીસામાં જુએ તો કહે, ‘હવે હું સારો દેખાઉં છું.’ ઘડી પછી ‘ના, બરોબર નથી’ કહેશે. તે જાત ઉપરેય પ્રેમ વધઘટ થાય. આ જવાબદારી નહીં સમજવાથી જ આ બધું થાય છે ને ! કેટલી મોટી જવાબદારી !

પ્રશ્નકર્તા : ત્યારે આ લોકો કહે છે ને, પ્રેમ કેળવો, પ્રેમ કેળવો !

દાદાશ્રી : પણ આ પ્રેમ જ ન્હોય ને ! એ તો લૌકિક વાતો છે. આને પ્રેમ કોણ કહે તે ? લોકોનો પ્રેમ જે વધઘટ થાય એ બધી આસક્તિ, નરી આસક્તિ ! જગતમાં આસક્તિ જ છે. પ્રેમ જગતે જોયો નથી.

(પા.૬)

અમારો શુદ્ધ પ્રેમ છે માટે લોકોને અસર થાય, લોકોને ફાયદો થાય, નહીં તો ફાયદો જ ના થાય ને ! એક ફેરો ‘જ્ઞાની પુરુષ’ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે, પ્રેમમાં ઘટવધ ના હોય, અનાસક્ત હોય, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજી કોઈ વસ્તુ પરમાત્મા છે નહીં. સાચો પ્રેમ, ત્યાં પરમાત્માપણું પ્રગટ થાય !

સદા અઘટ, ‘જ્ઞાની’નો પ્રેમ !

પ્રશ્નકર્તા : તો પછી આ પ્રેમના પ્રકાર કેટલા છે, કેવા છે, એ બધું સમજાવો ને !

દાદાશ્રી : બે જ પ્રકારના પ્રેમ છે. એક વધઘટવાળો, ઘટે ત્યારે આસક્તિ કહેવાય ને વધે ત્યારે આસક્તિ કહેવાય. અને એક વધઘટ ના થાય એવો અનાસક્ત પ્રેમ, એ જ્ઞાનીઓને હોય.

જ્ઞાનીનો પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. આવો પ્રેમ ક્યાંય જોવા નહીં મળે. દુનિયામાં જ્યાં તમે જુઓ છો તે બધો જ પ્રેમ ઘાટવાળો પ્રેમ. બૈરી-ધણીનો, મા-બાપનો, બાપ-દીકરાનો, મા-દીકરાનો, શેઠ-નોકરનો દરેકનો પ્રેમ ઘાટવાળો હોય. ઘાટવાળો છે એ ક્યારે સમજાય કે જ્યારે એ પ્રેમ ફ્રેક્ચર થાય. જ્યાં સુધી મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ કડવાટ ઊભી થાય ત્યારે ખબર પડે. અરે, આખી જિંદગી બાપની સંપૂર્ણ આમન્યામાં રહ્યો હોય ને એક જ વખત ગુસ્સામાં, સંજોગવશાત જો બાપને બેટો ‘તમે અક્કલ વગરના છો’ એમ કહે, તો આખી જિંદગી માટેનો સંબંધ તૂટી જાય. બાપ કહે, તું મારો બેટો નહીં ને હું તારો બાપ નહીં. જો સાચો પ્રેમ હોય તો તો એ કાયમ માટે તેવો ને તેવો જ રહે, પછી ગાળો ભાંડો કે ઝઘડો કરે. એ સિવાયના પ્રેમને તો સાચો પ્રેમ શી રીતે કહેવાય ? ઘાટવાળો પ્રેમ તેને જ આસક્તિ કહેવાય. એ તો વેપારી અને ગ્રાહક જેવો પ્રેમ છે, સોદાબાજી છે. જગતનો પ્રેમ તો આસક્તિ કહેવાય. પ્રેમ તો તેનું નામ કહેવાય કે, જોડે ને જોડે રહેવાનું ગમે. તેની બધી જ વાત ગમે. તેમાં એક્શન એન્ડ રીએક્શન ના હોય. પ્રેમ પ્રવાહ તો સરખો જ વહ્યા કરે. વધઘટ ના હોય, પૂરણ-ગલન ના હોય. આસક્તિ પૂરણ-ગલન સ્વભાવની હોય.

(પા.૭)

કોઈ છોકરો અક્કલ વગરની વાત કરે કે ‘દાદાજી, તમને તો હું હવે ખાવાય નહીં બોલાવું અને પાણીય નહીં પાઉં’, તોય ‘દાદાજી’નો પ્રેમ ઊતરે નહીં અને એ સારું જમાડ જમાડ કરે તોય ‘દાદાજી’નો પ્રેમ ચઢે નહીં, એને પ્રેમ કહેવાય. એટલે જમાડો તોય પ્રેમ, ના જમાડો તોય પ્રેમ, ગાળો ભાંડો તોય પ્રેમ અને ગાળો ના ભાંડો તોય પ્રેમ, બધે પ્રેમ દેખાય. એટલે ખરો પ્રેમ તો અમારો કહેવાય. એવો ને એવો જ છે ને ? પહેલે દહાડે જે હતો, તેનો તે જ છે ને ? અરે, તમે મને વીસ વર્ષે મળોને, તોય પ્રેમ વધે-ઘટે નહીં, પ્રેમ તેનો તે જ દેખાય !

સ્વાર્થ સિવાયનો સ્નેહ નહીં સંસારમાં !

પ્રશ્નકર્તા : માતાનો પ્રેમ વધારે સારો ગણાય, આ વ્યવહારમાં.

દાદાશ્રી : પછી બીજા નંબરે ?

પ્રશ્નકર્તા : બીજા કોઈ નથી. બીજા બધા સ્વાર્થના પ્રેમ.

દાદાશ્રી : એમ ? ભાઈ-બઈ બધાય સ્વાર્થ ? ના, તમે અખતરો નહીં કરી જોયો હોય ?

પ્રશ્નકર્તા : બધાય અનુભવ છે.

દાદાશ્રી : અને આ લોક રડે છે ને, તે ય સાચા પ્રેમનું રડતા નથી, સ્વાર્થનું રડે છે. અને આ તો પ્રેમ જ નહોય. આ તો બધી આસક્તિ કહેવાય. સ્વાર્થથી આસક્તિ ઉત્પન્ન થાય. ઘરમાં આપણે બધાની જોડે વધઘટ વગરનો પ્રેમ રાખવો. પણ એમને શું કહેવું કે ‘તમારા વગર અમને ગમતું નથી.’ વ્યવહારથી તો બોલવું પડે ને ! પણ પ્રેમ તો વધઘટ વગરનો રાખવો.

આ સંસારમાં જો કોઈ કહેશે, ‘આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ નહોય ?’ ત્યારે હું સમજાવું કે જે પ્રેમ ઘટે-વધે એ સાચો પ્રેમ જ નહોય. તમે હીરાના કાપ લાવી આપો, તે દહાડે બહુ પ્રેમ વધી જાય અને પછી કાપ ના લાવે તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય.

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ વધઘટ ના હોય, તો એનું સ્વરૂપ કેવું હોય ?

(પા.૮)

દાદાશ્રી : એ વધઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો પ્રેમ તમારી જોડે રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ?

એટલે સાચા પ્રેમની વ્યાખ્યા શું ? ફૂલ ચઢાવનાર અને ગાળ દેનાર, બન્ને પર સરખો પ્રેમ હોય, એનું નામ પ્રેમ. બીજી બધી આસક્તિઓ. આ પ્રેમની ડેફિનેશન કહું છું. પ્રેમ એવો હોવો જોઈએ. એ જ પરમાત્મ પ્રેમ છે અને જો એ પ્રેમ ઉત્પન્ન થયો તો બીજી કશી જરુર જ નથી. આ તો પ્રેમની જ કિંમત છે બધી !

મોહવાળો પ્રેમ, નકામો

પ્રશ્નકર્તા : માણસ પ્રેમ વગર જીવી શકે ખરો ?

દાદાશ્રી : જેની જોડે પ્રેમ કર્યો એણે લીધો ડાઈવોર્સ, તો પછી શી રીતે જીવે એ ? કેમ બોલ્યા નહીં ? તમારે બોલવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય તો જીવી શકે. જો મોહ થતો હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : ખરું કહ્યું આ. આપણે પ્રેમ કરીએ ત્યારે એ ડાઈવોર્સ લે, તો બળ્યો એ પ્રેમ ! એને પ્રેમ કહેવાય કેમ કરીને ? આપણો પ્રેમ ક્યારેય ના તૂટે એવો હોવો જોઈએ, ગમે તે થાય તોય પ્રેમ ના તૂટે. એટલે સાચો પ્રેમ હોય તો જીવી શકે.

પ્રશ્નકર્તા : ફક્ત મોહ હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : મોહવાળો પ્રેમ તો નકામોને બધો. ત્યારે આવા પ્રેમમાં ના ફસાશો. વ્યાખ્યાવાળો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર માણસ જીવી શકે નહીં એ વાત સાચી છે પણ પ્રેમ વ્યાખ્યાવાળો હોવો જોઈએ.

એટલે પ્રેમની વ્યાખ્યા તમને સમજણ પડી ? એવો પ્રેમ ખોળો. હવે આવો પ્રેમ ના ખોળશો કે કાલે સવારે એ ‘ડાઈવોર્સ’ લઈ લે. આમનાં શાં ઠેકાણાં ?

(પા.૯)

પ્રશ્નકર્તા : પ્રેમ અને મોહ, એમાં મોહમાં ન્યોછાવર થવામાં બદલાની આશા છે અને અહીં પ્રેમમાં બદલાની આશા નથી. તો પ્રેમમાં ન્યોછાવર થાય તો પૂર્ણપદને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરુઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય. એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે, પણ એવું થવું મુશ્કેલ છે ને !

પ્રશ્નકર્તા : એવી જ રીતે કોઈ પણ મોહ પાછળ જીવન ન્યોછાવર કરવાની શક્તિ લે તો પરિણામે પૂર્ણતા આવે ? તો એ ધ્યેયની પૂર્ણતાને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : જો મોહની પાછળ ન્યોછાવર કરે તો તો પછી મોહ જ પ્રાપ્ત કરે ને મોહ જ પ્રાપ્ત કર્યો છે ને લોકોએ !

પ્રશ્નકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે ?

દાદાશ્રી : એકલો જ મોહ ! ઉપર મોઢું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને ! હમણે અહીં આગળ ગૂમડું થાયને તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી ચાખી જુએને તો ખબર પડે. મોઢું બગડી જાય તો બગડી જાય, પણ મહિના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોઢું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, ‘આનું મોઢું જોવાનું મને નથી ગમતું.’ ‘ત્યારે અલ્યા, સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું ને હવે આવું નથી ગમતું ?’ આ તો મીઠું બોલતા હોયને એટલે ગમે. અને કડવું બોલે તો કહે, ‘મને તારા જોડે ગમતું જ નથી.’

(પા.૧૦)

પ્રશ્નકર્તા : એ પણ આસક્તિ જ છે ને ?

દાદાશ્રી : બધી આસક્તિ. ‘ગમ્યું હતું ને ના ગમ્યું, ગમ્યું હતું ને ના ગમ્યું’ એમ કકળાટ કર્યા કરે. એવા પ્રેમને શું કરવાનો ?

મોહમાં દગો-ફટકો !

બહુ માર ખાય ત્યારે જે મોહ હતોને, તે મોહ છૂટી જાય બધો. ખાલી મોહ જ હતો. તેનો જ માર ખા ખા કર્યો.

પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને, આ ફૂદું દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને ? એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય.

મોહ એટલે ‘યુઝલેસ’ જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠ ફરે અને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને !

એટલે આ બધા મોહ જ છે ને ! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.

પ્રશ્નકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે ? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચિડાઈ જાય એટલે જાણીએને કે આ યુઝલેસ છે ! પછી દશા શું થાય ? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને ? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં ?

(પા.૧૧)

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?

દાદાશ્રી : એ ખખડાવે તો ય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે, સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.

એ પ્રેમી કે લફરું ?

પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય અને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે, એને કયો પ્રેમ ગણાય ?

દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઈમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય ! અને કહેશે, ‘આવતા ભવમાં એકલા જ જોડે હોઈશું.’ તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ફરે. એ ફરી ભેગા જ ના થાય !!

પ્રશ્નકર્તા : ભેગા થવાની ઈચ્છા હોય તો પણ ભેગા થાય જ નહીં ?

દાદાશ્રી : ઈચ્છા રાખ્યે કંઈ દહાડો વળે ? આવતો ભવ તો કર્મોનું ફળ છે ને ! આ તો ઈમોશનલપણું છે.

તમે નાના હતા ત્યારે આવું લફરું વળગેલું કોઈ જાતનું ? તે પુરાવા ભેગા થાય, બધા ‘એવિડન્સ’ ભેગા થાય એટલે લફરું વળગી જાય.

પ્રશ્નકર્તા : લફરું એ શું છે ?

દાદાશ્રી : હા, તે હું કહું. એક નાગર બ્રાહ્મણ હતો, તે ઓફિસર હતો. તે એના છોકરાને કહે છે, ‘આ તું ફરતો હતો, તે મેં તને દીઠો, તે જોડે લફરાં શું કરવા ફેરવે છે ?’ છોકરો કોલેજમાં ભણતો હતો, કોઈ ગર્લફ્રેન્ડ જોડે એના બાપે દીઠો હશે. એને લફરું આ લોકો નથી કહેતા, પણ આ જૂના જમાનાનાં માણસો એને લફરું કહે છે. કારણ કે ફાધરને મનમાં એમ થયું કે ‘આ મૂરખ માણસ સમજતો નથી પ્રેમ શું છે એ. પ્રેમને સમજતો નથી ને માર ખાઈ જશે. આ લફરું વળગ્યું છે તે માર

(પા.૧૨)

ખાઈ ખાઈને મરી જશે.’ પ્રેમને નીવેડવો એ સહેલો નથી. પ્રેમ કરતાં બધાને આવડે છે પણ એને નીવેડવો સહેલો નથી. તેથી એના ફાધરે કહ્યું કે, ‘આ લફરાં શું કામ કરવા માંડ્યો ?’

તે પેલો છોકરો કહે છે, ‘બાપુજી, શું કહો છો આ તમે ? એ તો મારી ગર્લફ્રેન્ડ છે. તમે આને લફરું બોલો છો આમ ? મારી નાકકટ્ટી થાય એવું બોલો છો ? એવું ના બોલાય.’ ત્યારે બાપ કહે છે, ‘નહીં બોલું હવે.’ એ ગર્લફ્રેન્ડ જોડે બે વર્ષ દોસ્તી ચાલી. પછી એ બીજા કોઈ જોડે સિનેમા જોવા આવી હતી ને તે આણે જોઈ. એટલે એનાં મનમાં એમ લાગ્યું કે આ તો પપ્પાજી કહેતા હતા કે ‘આ લફરું વળગાડ્યું છે’, તે એવું આ લફરું જ છે.

એટલે પુરાવા ભેગા થાયને તો લફરાં વળગી જાય, પછી છૂટે નહીં અને બીજાને લઈને ફરે એટલે રાતદહાડો પેલાને ઊંઘ ના આવે. બને કે ના બને એવું ? પેલા છોકરાએ જ્યારે જાણ્યું કે ‘આ તો લફરું જ છે. મારા બાપ કહેતા હતા એ ખરી વાત છે.’ ત્યારથી એ લફરું છૂટવા માંડ્યું. એટલે જ્યાં સુધી ‘ગર્લફ્રેન્ડ’ કહે અને એને લફરું જાણે નહીં ત્યાં સુધી શી રીતે છૂટે ?

પ્રશ્નકર્તા : તો પછી આ મોહ અને પ્રેમ, એની તારવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય ?

દાદાશ્રી : પ્રેમ છે જ નહીં, તો પછી પ્રેમની વાત શું કરવા કરો છો ? પ્રેમ છે જ નહીં. બધો મોહ જ છે આ તો. મોહ ! મૂર્છિત થઈ જાય. બેભાનપણે, બિલકુલ ભાન જ નથી.

સિન્સિયારિટી ત્યાં સાચો પ્રેમ !

સામાથી કલમો ગમે એટલી ભાંગે, બધા સામસામી જે આપેલા વચન-પ્રોમિસ ગમે એટલાં તોડે પણ છતાંય સિન્સિયારિટી જાય નહીં. સિન્સિયારિટી એકલી વર્તનમાં જ નહીં પણ આંખમાંથી પણ ના જવી જોઈએ. ત્યારે જાણવું કે અહીં પ્રેમ છે. માટે એવો પ્રેમ ખોળજો. આ પ્રેમ માનશો નહીં. આ બહાર જે ચાલુ છે, એ બજારું પ્રેમ - આસક્તિ છે.

(પા.૧૩)

એ વિનાશને લાવશે. છતાંય છૂટકો નથી. તેને માટે હું તમને રસ્તો બતાવીશ. આસક્તિમાં પડ્યા વગરેય છૂટકો જ નથી ને !

ભગવત્ પ્રેમની પ્રાપ્તિ !

પ્રશ્નકર્તા : તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે ?

પ્રશ્નકર્તા : હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે ને ? મારો પ્રશ્ન અહીંયા જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો કેવી રીતે ?

દાદાશ્રી : પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને ? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને !

પ્રશ્નકર્તા : કારણ કે આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો.

દાદાશ્રી : શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે ? એને જ્યાં રુચિ હોય ને તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે.

પ્રશ્નકર્તા : ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમુક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય.

દાદાશ્રી : પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ લે તે ? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને ! અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો ? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો ? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય ?

એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને

(પા.૧૪)

છે. આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુદ્ધ ચેતન એટલે શુદ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે ? કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને ‘દાદા’ યાદ આવે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો ? કારણ કે ‘દાદા’એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને ! એ યાદ કરવાનું હોય જ નહીં.

એટલે ભગવાન યાદ ક્યારે આવે ? કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે. એક માણસ મને કહે છે કે, ‘મને બૈરી વગર ગમતું જ નથી.’ અલ્યા, શી રીતે ? બૈરી ના હોય તો શું થાય ? ત્યારે એ કહે છે, ‘તો તો મરી જઉં.’ અલ્યા, પણ શાથી ? ત્યારે એ કહે છે, ‘એ બઈ તો સુખ આપે છે.’ અને સુખ ના આપતી હોય ને માર મારતી હોય તો ? તો ય એને પછી યાદ આવે. એટલે રાગ ને દ્વેષ બેઉમાં યાદ આવ્યા કરે.

પશુ-પંખીઓમાં ય પ્રેમ !

એટલે વસ્તુ સમજવી પડે ને ! અત્યારે તમને એમ લાગે છે કે પ્રેમ જેવી વસ્તુ છે આ સંસારમાં ?

પ્રશ્નકર્તા : અત્યારે તો, છોકરાં ઉપર વહાલ કરીએ એને જ પ્રેમ માનીએ છીએ ને !

દાદાશ્રી : એમ ? પ્રેમ તો આ ચકલીને એનાં બચ્ચાં પર હોય છે. એ ચકલી નિરાંતે દાણા લાવી અને માળામાં આવે, એટલે પેલાં બચ્ચાં

(પા.૧૫)

‘માજી આવ્યાં, મમ્મી આવ્યાં’ કરી મૂકે. ત્યારે ચકલી એ બચ્ચાનાં મોઢામાં દાણા મૂકે. ‘એ દાણા કેટલાક રાખી મૂકતી હશે મહીં મોઢામાં ? અને કેવી રીતે એક-એક દાણો કાઢતી હશે ?’ એ હું વિચારમાં પડેલો. તે ચારેય બચ્ચાંને એક-એક દાણો મોઢામાં મૂકી આપે.

પ્રશ્નકર્તા : પણ એમનામાં આસક્તિ ક્યાંથી આવે ? એમનામાં બુદ્ધિ નથી ને !

દાદાશ્રી : હા, તે જ હું કહું છું ને ? એટલે આ તો એક જોવા માટે કહું છું. ખરેખર તો એ પ્રેમ ગણાય નહીં. પ્રેમ સમજણપૂર્વકનો હોવો જોઈએ. પણ એ ય પ્રેમ ગણાય નહીં. પણ છતાં ય આપણે આ બેનો ભેદ સમજવા દાખલો મૂકીએ છીએ. આપણા લોકો નથી કહેતા કે ભઈ, આ ગાયનો વાછરડા પર કેટલો ભાવ છે ? તમને સમજ પડી ને ? એની મહીં એ બદલાની આશા ના હોય ને !

બદલાની આશા, ત્યાં આસક્તિ !

એટલે આસક્તિ ક્યાં હોય ? કે જ્યાં એની પાસે કંઈક બદલાની આશા હોય, ત્યાં આસક્તિ હોય અને બદલાની આશા વગરના કેટલા માણસો હશે હિન્દુસ્તાનમાં ?

એક આંબો ઉછેરે છેને આપણા લોક, તે કંઈ આંબાને ઉછેરવા માટે ઉછેરે છે ? ‘શા સારુ ભઈ, આંબાની પાછળ આટલી બધી માથાકૂટ કરો છો ?’ ત્યારે એ કહે છે, ‘આંબો મોટો થશેને, તે મારા છોકરાનાં છોકરાં ખાશે અને પહેલાં તો હું ખાઈશ.’ એટલે ફળની આશાથી આંબો ઉછેરે છે. તમને કેમ લાગે છે ? કે નિષ્કામ ઉછેરે છે ? નિષ્કામ કોઈ ઉછેરતા નહીં હોય ! એટલે બધાય પોતાની ચાકરી કરવા સારુ છોકરાં ઉછેરતાં હશે ને કે ભાખરી કરવા સારુ !

પ્રશ્નકર્તા : ચાકરી કરવા માટે.

દાદાશ્રી : પણ અત્યારે તો ભાખરી થઈ જાય છે. મને એક જણ કહે છે, ‘મારો છોકરો ચાકરી નથી કરતો.’ ત્યારે મેં કહ્યું, ‘ત્યારે ભાખરી

(પા.૧૬)

ના કરે તો શું કરે તે ? હવે કંઈ લાડવા થાય એવા છો નહીં, તે ભાખરી કરે એટલે ઉકેલ(!) આવી જશે.’

માનો પ્રેમ !

પ્રશ્નકર્તા : પણ શાસ્ત્રમાં લખેલું છે કે મા-બાપને પોતાનાં બાળકો પ્રત્યે સરખો જ પ્રેમ હોય, એ બરાબર છે ?

દાદાશ્રી : ના, મા-બાપ કંઈ ભગવાન નથી કે સરખો પ્રેમ રહે ! તે સરખો પ્રેમ તો ભગવાન રાખી શકે. બાકી, મા-બાપ કંઈ ભગવાન નથી બિચારાં, એ તો મા-બાપ છે. એ તો પક્ષપાતી હોય જ. સરખો પ્રેમ તો ભગવાન જ રાખી શકે, બીજું કોઈ રાખી શકે નહીં. આ મને અત્યારે સરખો પ્રેમ હોય બધાનાં ઉપર.

બાકી, આ તો લૌકિક પ્રેમ છે. અમથા લોકો ‘પ્રેમ પ્રેમ’ ગાયા કરે છે. આ તો બૈરી જોડે ય પ્રેમ હોતો હશે ? આ બધા ય સ્વાર્થનાં સગાં છે અને આ મા છેને, તે તો મોહથી જ જીવે છે. પોતાના પેટે જન્મ્યું એટલે એને મોહ ઉત્પન્ન થાય છે અને ગાયને ય મોહ ઉત્પન્ન થાય છે પણ છ મહિના એનો મોહ રહે છે અને આ મધરને સાઠ વર્ષનો થાય તોય મોહ ના જાય.

પ્રશ્નકર્તા : પણ માને બાળક ઉપર જ્યારે પ્રેમ હોય છે ત્યારે નિષ્કામ જ છે ને ?

દાદાશ્રી : ન્હોય એ નિષ્કામ પ્રેમ. માને બાળક ઉપર નિષ્કામ પ્રેમ ના હોય. એ તો છોકરો પછી મોટી ઉંમરનો થાય ત્યારે કહે કે, ‘તમે તો મારા બાપની વહુ થાવ’, તો ? તે ઘડીએ ખબર પડશે કે નિષ્કામ હતો કે નહીં ! જ્યારે છોકરો કહે, ‘તમે મારા ફાધરનાં વાઈફ છો.’ તે દહાડે માનો મોહ ઊતરી જાય કે ‘તું મોઢું ના દેખાડીશ.’ હવે ફાધરના વાઈફ એટલે મા નહીં ? ત્યારે મા કહે, ‘પણ આવું બોલ્યો કેમ ?’ એને ય મીઠું જોઈએ છે. બધો મોહ છે.

એટલે એ પ્રેમ પણ નિષ્કામ નથી. એ તો મોહની આસક્તિ છે.

(પા.૧૭)

જ્યાં મોહ હોય ને આસક્તિ હોય ત્યાં નિષ્કામતા હોય નહીં. નિષ્કામ તો મોહ, આસક્તિરહિત હોય.

પ્રશ્નકર્તા : એ તમારી વાત સાચી. એ તો બાળક મોટું થાય પછી એવી આસક્તિ વધે. પણ જ્યારે બાળક છ મહિનાનું નાનું હોય ત્યારે ?

દાદાશ્રી : તે ઘડીએય આસક્તિ જ છે. આખો દહાડોય આસક્તિ જ છે. જગત આસક્તિથી જ બંધાયેલું છે. જગતમાં પ્રેમ હોઈ શકે નહીં કોઈ જગ્યાએ.

પ્રશ્નકર્તા : એવું બાપને હોય એવું માની શકું, પણ ‘મા’નું મગજમાં ઊતરતું નથી બરોબર હજી મને.

દાદાશ્રી : એવું છે ને, બાપ સ્વાર્થી હોય. જ્યારે મા છોકરા તરફ સ્વાર્થી ના હોય. એટલે આટલો ફેર હોય. માને શું હોય ? એને બસ આસક્તિ જ ! મોહ !! બીજું બધું ભૂલી જાય, ભાન ભૂલી જાય. એમાં નિષ્કામ એક ક્ષણવારે ય ના હોય. નિષ્કામ તો હોઈ શકે નહીં માણસ. નિષ્કામ તો ‘જ્ઞાની’ સિવાય કોઈ હોઈ શકે નહીં. અને આ જે બધા નિષ્કામ થઈને ફરે છેને, તે દુનિયાનો લાભ ઉઠાવે છે. નિષ્કામનો અર્થ તો હોવો જોઈએ ને ?

ખખડાવ્યે ખબર પડે !

પ્રશ્નકર્તા : તો માતા-પિતાનો પ્રેમ જે છે, એ કેવો કહેવાય ?

દાદાશ્રી : માતા-પિતાને એક દહાડો ગાળો ભાંડેને તો પછી એ સામા થઈ જાય. આ ‘વર્લ્ડલી’ પ્રેમ તો ટકે જ નહીં ને ! પાંચ વર્ષે, દસ વર્ષે પણ ઊડી જાય પાછો કોઈક દહાડો. સામો પ્રેમ હોવો જોઈએ, ચઢ-ઊતર ના કરે એવો પ્રેમ હોવો જોઈએ.

છતાં છોકરાની ઉપર બાપ કોઈ વખત જે ગુસ્સો કરે છે, એની મહીં હિંસકભાવ નથી.

પ્રશ્નકર્તા : એ ખરેખર તો પ્રેમ છે ?

(પા.૧૮)

દાદાશ્રી : એ પ્રેમ હોય જ નહીં. પ્રેમ હોય તો ગુસ્સો ના હોય. પણ હિંસકભાવ નથી એની પાછળ. એટલે એ ક્રોધ ના કહેવાય. ક્રોધ હિંસકભાવ સહિત હોય.

વ્યવહારમાં માનો પ્રેમ ઉત્કૃષ્ટ !

ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની કસોટી છે. છતાં કંઈક પ્રેમ છે તે માતાનો પ્રેમ છે.

પ્રશ્નકર્તા : આપે એમ કહ્યું કે માનો પ્રેમ હોઈ શકે, બાપને ન હોય. તો આમને ખોટું નહીં લાગે ?

દાદાશ્રી : છતાં પણ માનો પ્રેમ છે, એની ખાતરી થાય છે. મા છોકરાને જુએ એટલે ખુશ. આનું કારણ શું છે ? કે ભઈએ આપણે ઘેર જ, આપણા શરીરમાં જ નવ મહિના મુકામ કર્યો હતો. એટલે માને એમ લાગે કે મારે પેટે જન્મ્યો છે અને પેલાને એમ લાગે કે માને પેટે હું જન્મ્યો છું. એટલી બધી એકતા થઈ ગઈ છે. માએ જે ખાધું તે જ એનું લોહી થાય છે. એટલે આ એકતાનો પ્રેમ છે એક જાતનો. છતાં ખરેખર ‘રિયલી સ્પિંકિંગ’ પ્રેમ નથી આ. ‘રિલેટિવલી સ્પિકિંગ’ પ્રેમ છે. એટલે ફક્ત પ્રેમ કોઈ જગ્યાએ હોય તો માની સાથે હોય. ત્યાં પ્રેમ જેવી કંઈક નિશાની દેખાતી હોય. તેય પણ પૌદ્ગલિક પ્રેમ છે અને એ પ્રેમ છે તેય કેટલા ભાગમાં ? કે જ્યારે મધરને ગમતી ચીજ હોય, તેની પર છોકરાની તરાપ પડે તો એ બે લડે, તો પ્રેમ ફ્રેકચર થઈ જાય. છોકરો જુદો રહેવા જતો રહે. કહેશે, ‘મા, તારી જોડે નહીં ફાવે.’

આ ‘રિલેટિવ’ સગાઈ છે, રિયલ સગાઈ નથી. સાચો પ્રેમ હોય ને તો બાપ મરી ગયોને, તેની સાથે છોકરો વીસ વર્ષનો હોય તેય જોડે જાય. એનું નામ પ્રેમ કહેવાય. એવું જાય ખરો એકુય છોકરો ?

પ્રશ્નકર્તા : કોઈ ગયો નથી.

દાદાશ્રી : અપવાદ નહીં કોઈ ? બાપ મરી જાય એટલે છોકરાને

(પા.૧૯)

‘મારા બાપા મરી ગયા’, તે એટલી બધી અસર થાય અને એ પણ એની જોડે મરી જવા તૈયાર થઈ જાય. એવું અહીં મુંબઈમાં દાખલા બનેલા ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે સ્મશાનમાં શું કરે ત્યાં જઈને પછી ?

પ્રશ્નકર્તા : બાળી નાખે.

દાદાશ્રી : એમ ? પછી આવીને ખાતો નહીં હોય, નહીં ? ખાય ને ! તે આ એવું છે, ઔપચારિકતા છે, બધા જાણે કે આ રિલેટિવ સગાઈ છે. ગયો એ તો ગયો. પછી ઘેર આવીને નિરાંતે ખાય.

પ્રશ્નકર્તા : તો પછી કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે એના પરના મોહને લીધે રડીએ છીએ કે શુદ્ધ પ્રેમ હોય એટલે રડીએ છીએ ?

દાદાશ્રી : શુદ્ધ પ્રેમ કોઈ જગ્યાએ હોતો જ નથી દુનિયામાં. આ બધું મોહનું જ રડે છે. સ્વાર્થ વગર તો આ દુનિયા છે જ નહીં અને સ્વાર્થ છે ત્યાં મોહ છે. મા જોડેય સ્વાર્થ છે. લોકો એમ જાણે કે મા જોડે શુદ્ધ પ્રેમ હતો. પણ સ્વાર્થ વગર તો માય નથી. પણ એ લિમિટેડ સ્વાર્થ છે એટલે વખાણ્યો છે એને, ઓછામાં ઓછો-લિમિટેડ સ્વાર્થ છે. બાકી, એય મોહનું જ પરિણામ છે.

પ્રશ્નકર્તા : એ બરોબર. પણ માનો પ્રેમ તો નિઃસ્વાર્થ હોઈ શકે છે ને ?

દાદાશ્રી : હોય છે જ નિઃસ્વાર્થ ઘણે ખરે અંશે. તેથી તો માના પ્રેમને પ્રેમ કહ્યો.

પ્રશ્નકર્તા : છતાં એને આપ ‘મોહ છે’, એમ કહો છો ?

દાદાશ્રી : એવું છે, કોઈ કહેશે, ‘ભઈ, પ્રેમ જેવી વસ્તુ આ દુનિયામાં નથી ?’ તો પુરાવા તરીકે દેખાડવું હોય તો મા નો પ્રેમ એ પ્રેમ છે. એવું દેખાડાય, કે અહીં કંઈક પ્રેમ છે. બાકી, બીજી વાતમાં કશો માલ નથી. છોકરા પર માનો પ્રેમ હોય છે અને અત્યારે બધા પ્રેમ કરતાં

(પા.૨૦)

એ પ્રેમ વખાણવા જેવો છે. કારણ કે એ પ્રેમમાં બલિદાન છે.

પ્રશ્નકર્તા : મધરની જો આ પ્રમાણે હકીકત હોય, તો પિતાજીનો કેવો ભાગ હોય, આ પ્રેમ....

દાદાશ્રી : પિતાજીનો ઘાટવાળો પ્રેમ. મારું નામ કાઢે એવો છે, કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તેય સહેજ જ પાછો. તેય મનમાં હોય કે મોટો થશે, મારી ચાકરી કરશે અને શ્રાદ્ધ સરાવશે તોય બહુ થઈ ગયું મારું. એક લાલચ છે, કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી, તમે લાખો ડૉલર આપો કે લાખો પાઉન્ડ આપો ! આખા જગતનું સોનું આપો તો મારે કામનું નથી. જગતની સ્ત્રીસંબંધી મને વિચારે ના આવે. હું આ શરીરથી જુદો રહું છું, પડોશી તરીકે રહું છું. આ શરીરથી જુદો, પડોશી ‘ફર્સ્ટ નેબર’.

પ્રેમ સમાયો નોર્માલિટીમાં !

મા એ માતાનું સ્વરૂપ છે. આપણે માતાજી માનીએ છીએ ને, એ માનું સ્વરૂપ છે. માનો પ્રેમ સાચો છે. પણ એ પ્રાકૃત પ્રેમ છે અને બીજું, ભગવાનમાં એવો પ્રેમ હોય. અહીં જેને ભગવાન કહેતા હોય ત્યાં આપણે તપાસ કરવી. ત્યાં અવળું કરો, ઊંધું બોલો તોય પ્રેમ કરે અને બહુ ફૂલાં ચઢાવે તોયે એવો જ પ્રેમ કરે. એ ઘટે નહીં, વધે નહીં એવો પ્રેમ હોય. એટલે એને પ્રેમ કહેવાય અને એ પ્રેમસ્વરૂપ એ પરમાત્મ સ્વરૂપ છે.

બાકી, જગતે પ્રેમ જોયો જ નથી. ભગવાન મહાવીર ગયા પછી પ્રેમ શબ્દ જ જોયો નથી. બધી આસક્તિ છે. આ સંસારમાં પ્રેમ શબ્દ વપરાય છે એ તો આસક્તિને માટે વપરાય છે. પ્રેમ જો એના લેવલમાં હોય, નોર્માલિટીમાં હોય ત્યાં સુધી એ પ્રેમ કહેવાય ને નોર્માલિટી છોડે એટલે એ પ્રેમ પછી આસક્તિ કહેવાય. મધરનો પ્રેમ એને પ્રેમ કહેવાય ખરો. પણ એ ‘નોર્માલિટી’ છૂટી જાય એટલે આસક્તિ કહેવાય. બાકી, પ્રેમ એ પરમાત્મા સ્વરૂપ છે. નોર્મલ પ્રેમ એ પરમાત્મ સ્વરૂપ છે.

(પા.૨૧)

ગુરુ-શિષ્યનો પ્રેમ !

શુદ્ધ પ્રેમથી બધા જ દરવાજા ખૂલે. ગુરુ સાથેના પ્રેમથી શું ના મળે ? સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ. એવો તો પ્રેમનો આંકડો હોય. પણ અત્યારે તો આ બન્નેમાં ઝઘડા ચાલ્યા કરતા હોય.

એક જગ્યાએ તો શિષ્ય ને ગુરુ મહારાજ, બેઉ મારામારી કરતા’તા. તે મને એક જણ કહે છે, ‘હેંડો ઉપર.’ મેં કહ્યું, ‘ના જોવાય, અલ્યા મૂઆ, ખોટું દેખાય. એ તો બધું ચાલે. જગત આવું જ છે. સાસુ-વહુ નહીં લડતાં ? એવું આ ય ! વેર બંધાયેલાં, તે વેર પૂરાં થયા કરે. વેર બંધાયેલાં હોય. જો પ્રેમનું જગત હોય તો તો આખો દા’ડોય એની જોડેથી ઊઠવાનું ના ગમે. લાખ રૂપિયાની કમાણી હોય તોય કહેશે, બળ્યું રહેવા દોને ! આ તો કમાણી ના હોય તોય બહાર જતો રહે મૂઓ ! કેમ બહાર જતો રહે છે ? ઘેર ગમતું નથી. ચેન પડતું નથી !

ધણી ? નહીં, ‘કમ્પેનિયન’ !

આ તો બધી ‘રોંગ બિલિફો’ છે. ‘હું ચંદુભાઈ છું’. એ રોંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ, ‘આ કોણ છે ?’ ત્યારે એ કહે છે, ‘ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.’ ઓહો, મોટા ધણી આયા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાતો કરે છે ને ? ધણીનો ધણી કોઈ નહીં હોય ? તો પછી ઉપલા ધણીની વળી ધણીયાણી થયાં ને આપણા ધણીયાણી આ થયાં, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા ‘કમ્પેનિયન’ છે, કહીએ. પછી શું વાંધો ?

પ્રશ્નકર્તા : ‘દાદા’ એ બહુ ‘મોર્ડન’ ભાષા વાપરી.

દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાય ને ! હા, એક રૂમમાં ‘કમ્પેનિયન’ અને એ, બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે, ત્યારે બીજો એને માટે એનું બીજું કામ કરી આપે. એમ કરીને ‘કમ્પેનિયન’ ચાલુ રહે.

(પા.૨૨)

પ્રશ્નકર્તા : ‘કમ્પેનિયન’માં આસક્તિ હોય કે નહીં ?

દાદાશ્રી : એમાં ય આસક્તિ હોય. પણ એ આસક્તિ આના જેવી નહીં. આ તો શબ્દો જ એવા આસક્તિવાળા ! આ શબ્દો ગાઢ આસક્તિવાળા છે. ‘ધણીપણું ને ધણીયાણી’ એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને ‘કમ્પેનિયન’ કહે તો આસક્તિ ઓછી થઈ જાય.

ન હોય મારી.....

એક માણસને એમનાં વાઈફ વીસ વર્ષ પર મરી ગયાં હતાં. તે એક જણ મને કહે કે, ‘આ કાકાને હું રડાવું ?’ મેં કહ્યું, ‘શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના રડે.’ ત્યારે એ કહે છે, ‘જુઓ, એ કેવા સેન્સિટિવ છે !’ પછી પેલા ભત્રીજા બોલ્યા, ‘શું કાકા, કાકીની વાત તો થાય નહીં. શું એમનો સ્વભાવ !’ આવું એ બોલતો હતો, ત્યાં પેલા કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષે હજુ વહુનાં રડવાં આવે છે ?! આ તો કઈ જાતનાં ચક્કરો છો ? આ પ્રજા તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય તો જોનાર હઉ રડી ઊઠે.

પ્રશ્નકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ?

દાદાશ્રી : એ તો ના છૂટે. ‘મારી, મારી’ કરીને કર્યું ને તે હવે ‘ન્હોય મારી, ન્હોય મારી’ એનો જાપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે આંટા વાગેલા હોય, તે તે છોડવા જ પડે ને !

મતભેદ વધે, તેમ પ્રેમ વધે ?

મતભેદ થાય છે કે નહીં વહુ જોડે ? ‘વાઈફ’ જોડે મતભેદ ?

પ્રશ્નકર્તા : એ મતભેદ વગર તો હસબંડ-વાઈફ કહેવાય નહીંને ?

દાદાશ્રી : હેં એમ ? એવું છે, એવો કાયદો હશે ? ચોપડીમાં એવો કાયદો લખ્યો હશે કે મતભેદ પડે તો જ હસબંડ એન્ડ વાઈફ કહેવાય ? ઓછા-વધતા મતભેદ થાય ખરા કે નહીં ?

પ્રશ્નકર્તા : હા.

(પા.૨૩)

દાદાશ્રી : તો પછી હસબંડ એન્ડ વાઈફ ઓછું થતું જાય, નહીં ?

પ્રશ્નકર્તા : પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : પ્રેમ વધતો જાય તેમ મતભેદ ઓછા થતા જાય, નહીં ?

પ્રશ્નકર્તા : જેટલા મતભેદ વધતા જાય, જેટલા ઝઘડા વધતાં જાય. એટલો પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : હા. એ પ્રેમ નથી વધતો, એ આસક્તિ વધે છે. પ્રેમ તો જગતે જોયો જ નથી. ક્યારેય પણ પ્રેમ શબ્દ જોયો જ નથી જગતે. આ તો આસક્તિઓ છે બધી. પ્રેમનું સ્વરૂપ જ જુદી જાતનું છે. આ તમે મારી જોડે વાત કરી રહ્યા છોને, આ અત્યારે તમે પ્રેમ જોઈ શકો છો, તમે મને ટૈડકાવો તોય તમારી ઉપર પ્રેમ રાખીશ. ત્યારે તમને લાગશે કે ઓહોહો ! પ્રેમ સ્વરૂપ આવા હોય છે. વાત સાંભળવામાં ફાયદો ખરો કશો આ ?

પ્રશ્નકર્તા : પૂરેપૂરો ફાયદો છે.

દાદાશ્રી : હા, ચેતી જજે. નહીં તો મૂરખ બની ગયા જાણવું. અને પ્રેમ હોતો હશે ? તમારામાં છે પ્રેમ, તે એનામાં હોય ? આપણામાં પ્રેમ હોય તો સામાનામાં હોય. આપણામાં પ્રેમ નથી, અને સામાનો પ્રેમ ખોળીએ આપણે કે ‘તમારામાં પ્રેમ નથી દેખાતો ?’ મૂઆ પ્રેમ ખોળું છું ? એ પ્રેમી ન્હોય ! આ તો પ્રેમ ખોળે છે ? ચેતી જા. અત્યારે પ્રેમ હોતો હશે ? જે જેના લાગમાં આવે તેને ભોગવે, લૂંટબાજી કરે છે.

આમાં પ્રેમ ક્યાં રહ્યો ?

ધણી અને બૈરીના પ્રેમમાં ધણી જો કદી કમાઈ ના લાવે તો પ્રેમની ખબર પડી જાય. બીબી શું કહે ? ‘ક્યા ચૂલેમેં મૈં તુમ્હારા પાઁવ રખું ?’ ધણી કમાતો ના હોય તો બીબી આવું ના બોલે ? તે ઘડીએ એનો પ્રેમ ક્યાં ગયો ? પ્રેમ હોતો હશે આ જગતમાં ? આ તો આસક્તિ છે. જો આ ખાવાનું-પીવાનું બધું હોય તો એ પ્રેમ (!) દેખાય અને ધણી યે જો બહાર ક્યાંક લપટાયેલો હોય તો એ કહેશે કે, ‘તમે આવું કરશો તો હું

(પા.૨૪)

ચાલી જઈશ.’ તે વહુ ઉપરથી ધણીને ટૈડકાવે. તે પેલો તો બિચારો ગુનેગાર છે એટલે નરમ થઈ જાય. ને આમાં શું પ્રેમ કરવા જેવો છે તે ? આ તો જેમતેમ કરીને ગાડું ધકેલવાનું છે. ખાવા-પીવાનું બીબી કરી આપે અને આપણે પૈસા કમાવી લાવીએ. એમ જેમતેમ કરીને ગાડી આગે ચાલી મીયાં-બીબીકી !

આસક્તિ ત્યાં ‘રિએક્શન’ જ !

પ્રશ્નકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો યે દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ ?

દાદાશ્રી : કોની જોડે ?

પ્રશ્નકર્તા : વખતે ધણી જોડે એવું બને તો ?

દાદાશ્રી : એ દ્વેષ નથી કહેવાતો. હંમેશાં ય જે આસક્તિનો પ્રેમ છેને, એ રિએક્શનરી છે. એટલે જો ચિડાય ત્યારે આ પાછા અવળા ફરે. અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટા રહ્યા કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે, એટલે અથડામણ થાય. ને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોયને, ત્યાં અંદરખાને પ્રેમ છે આ લોકોને ! એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવનો પ્રેમ છે તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીં ને ! આ ડખાનું સ્વરૂપ જ એ છે.

એને લોકો શું કહે છે ? ‘અથડામણથી તો અમારો પ્રેમ થાય છે.’ ત્યારે વાત સાચી છે પણ. એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી-પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?

પ્રશ્નકર્તા : હા. અને બહુ આસક્તિ હોય ત્યાં અદેખાઈ પણ વધારે હોય ને ?

દાદાશ્રી : એ તો આસક્તિમાંથી જ બધી ભાંજગડ ઊભી થાય છે.

(પા.૨૫)

જે ઘરનાં બેઉ જણ સામસામી બહુ લડતાં હોયને તો આપણે જાણીએ કે અહીંયાં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી અમે નામ શું પાડીએ ? ‘વઢે છે’ એવું ના કહીએ. તમાચા મારે સામાસામી, તોય અમે એને ‘વઢે છે’ એવું ના કહીએ. અમે એને પોપટમસ્તી કહીએ. પોપટ આમ ચાંચ મારે, પેલો આમ ચાંચ મારે, ત્યારે બીજો પોપટ આમ મારે. પણ છેવટે લોહી ના કાઢે. હા, એ પોપટમસ્તી ! તમે નહીં જોયેલી પોપટમસ્તી ?

હવે આવી સાચી વાત સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી ? અરે, ભૂલો જ નહીં, પણ માર હઉ બહુ ખાધા !

દોષ, આક્ષેપ ત્યાં પ્રેમ ક્યાંથી ?

જગત આસક્તિ ને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ, આ બધું કામથી જ ઊભું થયું છે. કામ ના થાય તો મહીં બધા બૂમો પાડે, હલ્લો કરે. સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું જ નથી. પોતાનું કોઈ થાય નહીં. એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. એક કલાક છોકરાને આપણે ટૈડકાવીએને ત્યારે ખબર પડે કે છોકરો આપણો છે કે પારકો છે. દાવો માંડવા હઉ તૈયાર થઈ જાય. ત્યારે બાપેય શું કહે ? ‘મારી જાત કમાણી છે. તને એક પાઈ નહીં આપું’ કહેશે. ત્યારે છોકરો કહેશે, ‘હું તમને મારી ઠોકીને લઈશ’ આમાં પોતાપણું હોતું હશે ? એક જ્ઞાની પુરુષ જ પોતાના થાય.

બાકી, આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. આ સંસારમાં પ્રેમ ખોળશો નહીં. કોઈ જગ્યાએ પ્રેમ હોય નહીં. પ્રેમ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે હોય. બીજે બધે તો પ્રેમ ઊતરી જાય ને પછી વઢવાડ થાય પાછી. વઢવાડ થાય કે ના થાય ? એ પ્રેમ ના કહેવાય. એ આસક્તિ બધી. એને આપણાં જગતના લોકો પ્રેમ કહે છે. ઊંધું જ બોલવું એ ધંધો ! પ્રેમનું પરિણામ, ઝઘડો ના થાય. પ્રેમ એનું નામ કે કોઈનો દોષ ના દેખાય.

પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય,

(પા.૨૬)

બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય ? ‘તું આવી ને તું એમ !’ અલ્યા, પ્રેમ કહેતો હતો ને ? ક્યાં ગયો પ્રેમ ? એટલે ન્હોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે ? પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.

અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરેને કે, ‘તમે આવા છો ને તમે તેવા છો.’ ‘તમે આવા ને તું આવી’ એવું ના બોલો, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે ! એ આસક્તિને લીધે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ જ ના દેખાય.

સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો તો વીતરાગ થવાય.

પ્રેમ તો વીતરાગોનો જ !

આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે, પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય. એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય.

આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રીસાઈને બેઠી હોય, ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી. મોઢું ચઢાવીને ફરતાં હોય, તેના પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ક્યારેય પણ મોઢું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે.

ધણી ટૈડકાવે તોય પ્રેમ વધઘટ ના થાય એવો પ્રેમ જોઈએ. હીરાના કાપ લાવી આપે તે ઘડીએ પ્રેમ વધી જાય, તેય આસક્તિ. એટલે આ

(પા.૨૭)

જગત આસક્તિથી ચાલી રહ્યું છે. પ્રેમ, એ તો ‘જ્ઞાની પુરુષ’થી તે ઠેઠ ભગવાન સુધી હોય, એ લોકોને પ્રેમનું લાયસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છૂટાય નહીં. તે ઠેઠ ‘જ્ઞાની પુરુષ’ની પાસે, ઠેઠ તીર્થંકર સુધી બધા પ્રેમવાળા, અલૌકિક પ્રેમ ! જેમાં લૌકિકતા નામે ય ના હોય.

અતિ પરિચયાત્ અવજ્ઞા !

જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. જેની જોડે પ્રેમ હોય ને માંદા થઈએ ત્યારે તેની જોડે જ કંટાળો આવે. એ ગમે નહીં આપણને. ‘તમે જાવ અહીંથી, આઘા બેસો’ કહેવું પડે અને ધણી જોડે પ્રેમની આશા રાખવી નહીં અને એ આપણી પાસે પ્રેમની આશા રાખે તો એ મૂરખ છે. આ તો આપણે કામ પૂરતું કામ ! જેમ હોટલવાળાને ત્યાં ઘર માંડવા જઈએ છીએ આપણે ? ચા પીવા માટે જઈએ તો પૈસા આપીને પાછા ! એવી રીતે કામ પૂરતું કામ કરી લેવાનું આપણે.

પ્રેમની લગનીમાં નભાવે સર્વ ભૂલો !

ઘરનાં જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાંને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષય આસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં બધો હતો કે ધણી પરદેશ ગયો હોયને, તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઈ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય !

પ્રેમ એટલે લગની લાગે તે. અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઊભરાય તે પાછો બેસી જાય. જે

(પા.૨૮)

ઊભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઊભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઈએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઈ જાય તોય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે ‘જરા ધોવડાવો’ તો ધણી કહેશે કે, ‘ના, મારાથી નથી જોવાતું’! અલ્યા, તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો, ને આજે કેમ આમ ? આ ઘૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઈએ કે જે એકદમ ઓછો ના થઈ જાય કે એકદમ વધી ના જાય. નોર્માલિટીમાં હોવો જોઈએ. જ્ઞાનીનો પ્રેમ તો ક્યારે પણ વધઘટ ના થાય. એ પ્રેમ તો જુદો જ હોય, એને પરમાત્મ પ્રેમ કહેવાય.

પ્રેમ બધે હોવો જોઈએ. આખા ઘરમાં પ્રેમ જ હોવો જોઈએ. જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. અને આ પ્રેમ નથી, ઈગોઈઝમ છે, હું ધણી છું એવું ભાન છે. પ્રેમ એનું નામ કહેવાય કે ભૂલ ના લાગે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે. તમને સમજાય છે ?

પ્રશ્નકર્તા : હાજી.

દાદાશ્રી : એટલે ભૂલચૂક થાય કે પ્રેમની ખાતર જવા દેવી. આ છોકરા પર તમને પ્રેમ હોયને, તો ભૂલ ના દેખાય છોકરાની. હશે બા, કશો વાંધો નહીં. પ્રેમ નભાવી લે બધું. નભાવી લે ને ?

બાકી, આ તો આસક્તિ બધી ! ઘડીમાં વહુ છે તે આ ગળે હાથ વળગાડે ને ચોંટી પડે અને પછી ઘડીમાં પાછા બોલમ્બોલ કરે. ‘તે આવું કર્યું, તેં આમ કર્યું.’ પ્રેમમાં કોઈ દહાડો ભૂલ ન હોય. પ્રેમમાં ભૂલ દેખાય નહીં. આ તો પ્રેમ જ ક્યાં છે ? ના જોઈએ, ભઈ ?

આપણને ભૂલ ના દેખાય તો આપણે જાણીએ કે આની જોડે પ્રેમ છે આપણને ! ખરેખર પ્રેમ હશે આ લોકોને ?

એટલે આને પ્રેમ કેમ કહેવાય ?

બાકી, પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં

(પા.૨૯)

આવે છે ને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે કે ‘આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે !’ મેં કહ્યું, ‘ન્હોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.’

ધણી ખોળે અક્કલ, બૈરી જુએ વેતા !

ત્યારે જે પ્રેમમાં પોતાની જાત જ હોમી દે, જાતને ‘સેફસાઈડ’ રાખે નહીં ને જાતને હોમી દે, એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ છે વાત.

પ્રશ્નકર્તા : એવા પ્રેમને શું કહેવાય ? અનન્ય પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : આને પ્રેમ કહેવાય સંસારમાં. આ આસક્તિમાં ના ગણાય અને એનું ફળેય બહુ ઊંચું મળે. પણ એવું પોતાની જાતને હોમવી, એ બને નહીં ને ! આ તો પોતાની જાતને ‘સેફસાઈડ’ રાખીને કામ કર્યા કરે છે. ને ‘સેફ સાઈડ’ ના કરે એવી સ્ત્રીઓ કેટલી ને એવા પુરુષો કેટલા ?

આ તો સિનેમામાં જતી વખતે આસક્તિનાં તાનમાં ને તાનમાં. ને આવતી વખતે ‘અક્કલ વગરની છે’ કહેશે. ત્યારે પેલી કહેશે, ‘તમારામાં ક્યાં વેતા છે ?’ એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. પેલી વેતા જોતી હોય !

પ્રશ્નકર્તા : આ તો આમ આ બધાનો અનુભવ છે. કોઈ બોલે નહીં, પણ દરેક જણ જાણે કે ‘દાદા’ કહે છે એ વાત સાચી છે.

પ્રેમથી જ જીતાય !

પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં, કારણે કે અકારણે કટુવચન બોલવાં પડે છે, તો એ પાપ કે દોષ ગણાય ? આ સંસારી ધર્મો બજાવતી વખતે કડવાં વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ?

દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબનાં ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું

(પા.૩૦)

કે પાપ લાગ્યું. કડવાં વચન ના બોલાય. ધીમે રહીને, આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો, પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. ‘અત્યારે તો નાની ઉંમરનો છું, તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.’ એવાં પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો. એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દસ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે છે એ તો જુઓ ! તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ?

પ્રશ્નકર્તા : આપણે અનેક વાર સમજાવીએ છતાં એ ના સમજે તો શું કરવું ?

દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો. છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે ?

પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ?

દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો. માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલોય એની મેળે જ પડે છે. એ તો, નાખનાર તો, વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી, એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂક્તે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂક્તે થઈ રહ્યા છે. સમજ પડીને ? માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો.

પ્રેમથી ઉછેરવો છોડવાને !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી

(પા.૩૧)

પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએને ! કહેતાં આવડવું જોઈએ ને, શું ?

પ્રશ્નકર્તા : કઈ રીતે ?

દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.’ આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે ‘તમારામાં અક્કલ નથી, ગધેડો છું.’ એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે ટકોર કરવાની ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે ?

પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઉછેરવો હોયને, તો ય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો, તો કશું ના થાય. એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો, સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે! એ ય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ?

કહેવા કહેવાની રીત !

પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?

દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂરખ છીએ, આપણને બોલતાં નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે,

(પા.૩૨)

આપણો અવતાર બગડે. આવું કોણ કરે તે ?

એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ ‘વિકનેસ’નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.

પ્રેમનો પાવર !

સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે. એ બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય, શું ? આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તેય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને ?

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીંને, જ્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય, કચરો બધો કાઢે છે કે નથી કાઢતી ? કેવા સરસ હાર્ટવાળા ! જે હાર્ટિલિ હોયને તેની જોડે ડખો ના કરવો, તારે એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.

છોડ રોપ્યો હોય તો, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ છોકરાઓ તો

(પા.૩૩)

મનુષ્ય છે. અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ !

હંમેશાં પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે, એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.

પ્રશ્નકર્તા : ઘણી વખત સામો માણસ આપણે પ્રેમ કરીએ છીએ તોય સમજી નથી શકતો.

દાદાશ્રી : પછી આપણે શું કરવું ત્યાં આગળ ? શીંગડું મારવું ?

પ્રશ્નકર્તા : ખબર નહીં, શું કરવું પછી ?

દાદાશ્રી : ના, શીંગડું મારે છે પછી. પછી આપણે ય શીંગડું મારીએ એટલે પેલોય શીંગડું મારે પછી ચાલુ લડાઈ. જીવન ક્લેશિત થઈ જાય પછી.

પ્રશ્નકર્તા : તો એવા સંજોગોમાં આપણે કેવી રીતે સમતા રાખવી ? આવું તો આપણે થઈ જાય તો ત્યાં આગળ કેવી રીતે રહેવું ? સમજણ નથી પડતી ત્યાં શું કરવું ?

દાદાશ્રી : શું થઈ જાય તો ?

પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ ના સમજે, આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ?

દાદાશ્રી : શું કરવાનું ? શાંત રહેવાનું આપણે. શાંત રહેવાનું, બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ?

પ્રશ્નકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ ?

દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ ! બીજું શું કરવું ? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો ?

પ્રશ્નકર્તા : પોલીસવાળાની ઓથોરિટી છે, એની સત્તા છે.

(પા.૩૪)

દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય !

બાળકો છે, પ્રેમ ભૂખ્યા !

આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.

આપણે સુધારવું હોય તો શાક સુધારવું, પણ છોકરાઓને ના સુધારવા ! એ લોકોને શાક સુધારતાં આવડે. શાક સુધારતાં ના આવડે ?

પ્રેમ, આવો વરસાવો !

અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું, તેનું એને દુઃખ છે.

પ્રેમથી જ વશ થઈ જાય !

આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિડાય. માટે એ આસક્તિ છે.

પ્રેમથી જ સુધરે જગત !

અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને, તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ છીએને ! પ્રેમથી કહીએ એટલે વસ્તુ બગડે નહીં અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ, તોય એ દૂધનું દહીં થઈ જાય.

એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છે ને, તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે

(પા.૩૫)

પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું ‘રફ’ દેખાય છે. જુઓને, અહીં પ્રેમસ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધાં કરે છે !

કદર માગે ત્યાં પ્રેમ કેવો ?

બાકી, પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છેને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે, ‘આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે.’ મેં કહ્યું, ‘ન્હોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.’

પ્રશ્નકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એમાં પ્રેમની અપેક્ષાઓ હોય ખરી ?

દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય ને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમ સાપેક્ષ ના હોય.

પ્રશ્નકર્તા : પણ દરેક માણસને મારે માટે બે શબ્દ સારા બોલે, એવી કદરની હંમેશાં ઇચ્છા હોય. કોઈને ગાળ સહન કરવી ગમતી નથી.

દાદાશ્રી : એની કદર થાય એવી આશાઓ રાખે એટલે એ પ્રેમ જ ન્હોય. એ બધી આસક્તિ છે. આ બધો મોહ જ છે.

લોકો પ્રેમની આશા રાખે એ મૂરખ છે બધાં, ‘ફૂલીશ’ છે. તમારું પુણ્ય હશે તો પ્રેમથી કોઈ બોલાવશે. એ પુણ્યથી પ્રેમ છે અને તમારા પાપનો ઉદય થયો એટલે તમારો ભઈ જ કહેશે, ‘નાલાયક છે તું, આમ છે ને તેમ છે.’ ગમે તેટલા ઉપકાર કરો તો ય. આ પુણ્ય ને પાપનું પ્રદર્શન છે અને આપણે જાણીએ કે એ જ આવું કરે છે.

એટલે આ તો પુણ્ય બોલી રહ્યું છે, માટે પ્રેમ તો હોય જ નહીં. ‘જ્ઞાની પુરુષ’ પાસે જાય ત્યારે પ્રેમ જેવી વસ્તુ દેખાય. બાકી, પ્રેમ તો જગતમાં કોઈ જગ્યાએ ના હોય.

(પા.૩૬)

અંદરની સિલક સાચવો !

આ તો લોકો બહાર કંઈ ભાંજગડ પડી કે ભાઈબંધી છોડી નાખે. પહેલાં ભાઈબંધી હોય અને બહુ પ્રેમથી વર્તતા હોય તો બહારેય પ્રેમ અને અંદરેય પ્રેમ ! અને પછી જ્યારે ભાંજગડ પડે ત્યારે બહારેય ભાંજગડ અને અંદરેય ભાંજગડ. અંદર ભાંજગડ નહીં કરવાની. પેલો જાણે નહીં પણ અંદર પ્રેમ રહેવા દેવાનો. અંદર સિલક હશેને, ત્યાં સુધી મનુષ્યપણું નહીં જાય. અંદરની સિલક ગઈ એટલે મનુષ્યપણુંય જતું રહે.

પ્રેમમાં સંકુચિતતા ના હોય !

મારામાં પ્રેમ હશે કે નહીં હોય ? કે તમે એકલા જ પ્રેમવાળા છો ? આ તમે તમારો પ્રેમ સંકુચિત કરેલો છે કે ‘આ વાઈફ ને આ છોકરાં.’ જ્યારે મારો પ્રેમ વિસ્તારપૂર્વક છે.

પ્રશ્નકર્તા : પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે ?

દાદાશ્રી : સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત હોયને, કે આટલા ‘એરિયા’ પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું ? ચાર ભાઈઓ હોય અને ચારેયને ત્રણ-ત્રણ છોકરાં હોય અને ભેગા રહેતા હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં ‘અમારું, અમારું’ બોલે. ‘અમારા પ્યાલા ફૂટ્યા’ બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થાય તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે ‘એ તમારું ને આ અમારું.’ આમ સંકુચિતતા આવતી જાય. એટલે આખા ઘરમાં પ્રેમ જે વિકાસ હતો, તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયું. પછી આખી પોળ તરીકે, યુવકમંડળ તરીકે કરવો હોય, તો પાછો એનો પ્રેમ ભેગો હોય. બાકી પ્રેમ, ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય.

રાગ અને પ્રેમ

પ્રશ્નકર્તા : તો પ્રેમ અને રાગ એ બન્ને શબ્દો સમજાવો.

(પા.૩૭)

દાદાશ્રી : રાગ એ પૌદ્ગલિક વસ્તુ છે અને પ્રેમ એ સાચી વસ્તુ છે. હવે પ્રેમ કેવો હોવો જોઈએ ? કે વધે નહીં, ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. અને વધે-ઘટે એ રાગ કહેવાય. એટલે રાગમાં અને પ્રેમમાં ફેર એવો છે કે પેલું એકદમ વધી જાય તો એને રાગ કહેવાય, એટલે ફસાયો પછી. જો પ્રેમ વધી જાય તો રાગમાં પરિણામ પામે. પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે. એટલે એનું નામ પ્રેમ કહેવાય જ નહીં ને ! એ તો આકર્ષણ ને વિકર્ષણ છે. એટલે આપણા લોકો જેને પ્રેમ કહે છે, તેને ભગવાન આકર્ષણ કહે છે.

રાગ ‘કોઝિઝ’, અનુરાગ ‘ઈફેક્ટ’ !

પ્રશ્નકર્તા : પણ દાદા, રાગ થાય છે એમાંથી અનુરાગ થઈ જાય છે અને પછી એમાંથી આસક્તિ થાય છે.

દાદાશ્રી : એવું છે, રાગ એ કોઝિઝ છે અને અનુરાગ ને આસક્તિ એ ‘ઈફેક્ટ’ છે. એ ‘ઈફેક્ટ’ બંધ કરવાની નથી, કોઝિઝ બંધ કરવાનાં છે. કારણ કે આ આસક્તિ કેવી છે ? એક બહેન કહે છે, ‘તમે મને જ્ઞાન આપ્યું અને મારા પુત્રનેય જ્ઞાન આપ્યું છે. છતાંય પણ મને એની પર એટલો બધો રાગ છે કે આ જ્ઞાન આપ્યું છતાંય રાગ જતો નથી.’ ત્યારે મેં કહ્યું, ‘એ રાગ નથી, બેન. એ આસક્તિ છે.’ ત્યારે એ કહે છે, ‘પણ એવી આસક્તિ ના રહેવી જોઈએ ને ? આસક્તિ ‘તમને’ ‘શુદ્ધાત્મા’ને નથી.

દ્રષ્ટિફેરથી આસક્તિ !

પ્રશ્નકર્તા : માણસને જગત પ્રત્યે શા માટે આસક્તિ હોય છે ?

દાદાશ્રી : આખું જગત આસક્તિમાં જ છે. જ્યાં સુધી ‘સેલ્ફ’માં રહેવાની શક્તિ ઉત્પન્ન ના થાય, ‘સેલ્ફ’ની રમણતા ઉત્પન્ન ના થાય, ત્યાં સુધી આસક્તિમાં જ બધું પડેલું છે. સાધુ-સંન્યાસીઓ-આચાર્યો, બધા આસક્તિમાં જ પડ્યા છે. આ સંસારની, બૈરી-છોકરાંની આસક્તિ છૂટે તો પુસ્તકની આસક્તિ ચોંટે, નહીં તો ‘હમ’ ‘હમ’ની આસક્તિ ! એ બધી આસક્તિઓ જ છે, જ્યાં જાય ત્યાં.

(પા.૩૮)

આસક્તિ એટલે વિકૃત પ્રેમ !

જે પ્રેમ વધઘટ થાય એ આસક્તિ કહેવાય. અમારો પ્રેમ વધઘટ ના થાય. તમારે વધઘટ થાય તેથી તે આસક્તિ કહેવાય. વખતે ઋણાનુબંધી આગળ પ્રેમ વધઘટ થાય તો ‘આપણે’ તેને ‘જાણીએ.’ હવે પ્રેમ વધઘટ ના થવો જોઈએ. નહીં તો પ્રેમ એકદમ વધી ગયો તોય આસક્તિ કહેવાય અને ઘટી ગયો તોય આસક્તિ કહેવાય અને આસક્તિમાં હંમેશાં રાગ-દ્વેષ થયા કરે. જે આસક્તિ છે એને જ પ્રેમ ગણે છે, એ લોકભાષા ને ! પાછાં બીજાં યે એવું જ કહે, એને જ પ્રેમ કહે. આખી લોકભાષા જ એ થઈ.

પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને !

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગત એટલે વિકૃત છે, એમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હેય... મહીં બેઠા છેને, તે અનાસક્ત છે અને તે અકામી છે પાછા અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના. લોક કહે છે કે, ‘હું નિષ્કામ થયો છું.’ પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. ઘણાં લોક કહે છેને, કે ‘હું નિષ્કામ ભક્તિ કરું છું.’ મેં કહ્યું, ‘કરજે ને, તું અને તારી વહુ બેઉ કરજો (!) પણ આસક્તિ ગઈ નથી, ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ ?’

આસક્તિ તો એટલે સુધી ચોંટે, તે સારા પ્યાલા-રકાબી હોયને તો તેમાંય ચોંટી જાય. અલ્યા, અહીં ક્યાં જીવતું છે ? એક વેપારીને ત્યાં હું ગયો હતો, તે દહાડામાં પાંચ વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હેય ! એવું આમ સુંવાળું રેશમ જેવું ગોળ !! અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો આ લાકડાં ઉપર કેટલી આસક્તિ છે ! કંઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી. વિકૃત પ્રેમ જ્યાં ચોંટ્યો ત્યાં આસક્તિ !

(પા.૩૯)

આસક્તિથી મુક્તિનો માર્ગ...

પ્રશ્નકર્તા : આસક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ તમે સમજાવ્યું. હવે એ આસક્તિથી મુક્તિ કેમ મળે ?

દાદાશ્રી : ‘હું અનાસક્ત છું’ એવું ‘એને’ ભાન થાય તો મુક્તિ મળી જાય. આસક્તિ કાઢવાની નથી, ‘અનાસક્ત છું’ એ ભાન કરવાનું છે. બાકી, આસક્તિ જાય નહીં. હવે તમે જલેબી ખાધા પછી ચા પીવો તો શું થાય ?

પ્રશ્નકર્તા : ચા મોળી લાગે.

દાદાશ્રી : હા, તેમ ‘પોતાનું સ્વરૂપ’ પ્રાપ્ત થયા પછી આ સંસાર મોળો લાગે, આસક્તિ ઊડી જાય. ‘પોતાનું સ્વરૂપ’ પ્રાપ્ત થયા પછી જો એને સાચવે, અમે કહીએ છીએ તે પ્રમાણે આજ્ઞાપૂર્વક રહે તો એને આ સંસાર મોળો લાગે.

આસક્તિ કાઢયે જાય નહીં. કારણ કે આ લોહચુંબક અને ટાંકણી બેને આસક્તિ જે છે એ જાય નહીં. એવી રીતે આ મનુષ્યની આસક્તિ જાય નહીં. ઓછી થાય, પ્રમાણ ઓછું થાય પણ જાય નહીં. આસક્તિ જાય ક્યારે ? ‘પોતે’ અનાસક્ત થાય ત્યારે. ‘પોતે’ આસક્ત જ થયો છે. નામધારી એટલે આસક્ત ! નામ પર આસક્તિ, બધા ઉપર આસક્તિ ! ધણી થયો એટલે આસક્ત, બાપો થયો એટલે આસક્ત !!

પ્રશ્નકર્તા : તો સંજોગોની અસર ના થાય એ ખરી અનાસક્તિ ?

દાદાશ્રી : ના, અહંકાર ખલાસ થયા પછી અનાસક્ત થાય એટલે અહંકાર ને મમતા બન્ને જાય ત્યારે અનાસક્તિ ! તે કોઈ એવો હોય નહીં.

પ્રશ્નકર્તા : એટલે આ બધું કરીએ, પણ એમાં આસક્તિ ના હોવી જોઈએ, કર્મ લેપાયમાન ના થવાં જોઈએ....

દાદાશ્રી : પણ આસક્તિ લોકોને રહે જ, સ્વાભાવિક રીતે. કારણ કે એની પોતાની મૂળ ભૂલ નથી ગઈ. ‘રૂટ કોઝ’ જવું જોઈએ. ‘રૂટ કોઝ’ શું છે ? તો આ એને ‘હું ચંદુભાઈ છું’ એવી બિલિફ બેસી ગઈ છે. એટલે

(પા.૪૦)

ચંદુભાઈને માટે કોઈ કહે ‘ચંદુભાઈને આમ કરવામાં આવે છે, આમ નુકસાન કર્યું છે’ આમ તેમ ચંદુભાઈ ઉપર આરોપ આપવામાં આવે તો ‘એ’ ગુસ્સે થઈ જાય, ‘એને’ પોતાની વિકનેસ ઊભી થઈ જાય.

તો આ ‘રૂટ કોઝ’ છે, ભૂલ મોટી આ છે. બીજી બધી ભૂલ છે જ નહીં. ભૂલ મૂળમાં આ જ છે કે ‘તમે’ જે છો એ જાણતા નથી ને નથી તે આરોપ કરો છો. લોકોએ નામ આપ્યું એ તો ઓળખવાનું સાધન કે ‘ભઈ, આ ચંદુભાઈ અને ઈન્કમટેક્ષ ઓફિસર.’ એ બધું ઓળખવાનું સાધન. આ બઈના ધણી એય ઓળખવાનું સાધન. પણ ‘પોતે ખરેખર કોણ છે’ એ જાણતા નથી, તેની જ આ બધી મુશ્કેલી છે ને ?

પ્રશ્નકર્તા : આખરી મુશ્કેલી તો ત્યાં જ છે ને ?

દાદાશ્રી : એટલે આ ‘રૂટ કોઝ’ છે. એ ‘રૂટ કોઝ’ તોડવામાં આવે તો કામ થાય.

આ સારું ખોટું એ બુદ્ધિના આધીન છે. હવે બુદ્ધિનો ધંધો શો છે ? જ્યાં જાય ત્યાં પ્રોફિટ એન્ડ લોસ જુએ. બુદ્ધિ વધારે કામ કરી શકતી નથી, પ્રોફિટ એન્ડ લોસ સિવાય. હવે એનાથી દૂર થાવ. અનાસક્ત યોગ રાખો. આત્માનો સ્વભાવ કેવો છે ? અનાસક્ત સ્વરૂપ છે. પોતાનો સ્વભાવ એવો છે. તું પણ સ્વભાવથી અનાસક્ત થઈ જા. હવે જેવો સ્વભાવ આત્માનો છે. એવો સ્વભાવ આપણે કરીએ એટલે એકાકાર થઈ જાય, પછી કંઈ એ જુદું છે જ નહીં. સ્વભાવ જ બદલવાનો છે.

હવે આપણે આસક્તિ રાખીએ ને ભગવાન જેવા થાય એ શી રીતે બને ? એ અનાસક્ત અને આસક્તિની જોડે મેળ શી રીતે થાય ? આપણામાં ક્રોધ હોય ને પછી ભગવાનનો મેળાપ શી રીતે થાય ?

ભગવાનમાં જે ધાતુ છે, એ ધાતુરૂપ તું થઈ જાય. જે સનાતન છે, એ જ મોક્ષ છે. સનાતન એટલે નિરંતર. નિરંતર રહે છે એ જ મોક્ષ છે.

કરવા ગયો શું ને થઈ ગયું શું !

પ્રશ્નકર્તા : દાદા, તમે કેવી રીતે અનાસક્ત થયા ?

(પા.૪૧)

દાદાશ્રી : બધું એની મેળે, ‘બટ નેચરલ’ ઊભું થઈ ગયું. આ મને કંઈ ખબર નથી પડતી કે શી રીતે થયું આ !

પ્રશ્નકર્તા : પણ હવે તો તમને ખબર પડે ને ? એ પગથિયાં અમને કહો.

દાદાશ્રી : હું કશું કરવા ગયેલો નહીં, કશું થયું નથી. હું કરવા ગયો શું અને થઈ ગયું શું ! હું તો આટલીક ખીર બનાવવા ગયો હતો, દૂધમાં ચોખા નાખીને પણ આ તો અમૃત થઈ ગયું !! એ પૂર્વનો સામાન બધો ભેગો થયેલો. મને એમ ખરું કે મહીં આપણી પાસે કંઈક છે, એટલી ખબર ખરી. તેની જરા ઘેમરાજી રહ્યા કરે.

પ્રશ્નકર્તા : એટલે અનાસક્ત તમે જે રીતે થયા તો મને એમ કે એ રીતનું વર્ણન કરશો, તો એ રીતની મને સમજણ પડશે.

દાદાશ્રી : એવું છે, આ ‘જ્ઞાન’ લીધું ને અમારી આજ્ઞામાં રહે, એ અનાસક્ત કહેવાય. પછી ભલે ને, એ ખાતો-પીતો હોય કે કાળો કોટ પહેરતો હોય કે ધોળાં કોટ-પેન્ટ પહેરતો હોય કે ગમે તે પહેરતો હોય. પણ એ અમારી આજ્ઞામાં રહ્યો એ અનાસક્ત કહેવાય. આ આજ્ઞા અનાસક્તનું જ ‘પ્રોટેક્શન’ છે.

આસક્તિ, પરમાણુઓનું સાયન્સ !

એ કોના જેવું છે ? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચીનીચી થાય કે ના થાય ? થાય. લોહચુંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય. એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચુંબક નામનો ગુણ છે. કારણ કે મહીં ઈલેક્ટ્રિકલ બોડી છે. એટલે એ બોડીના આધારે ઈલેક્ટ્રિસિટી બધી થયેલી છે. તેથી શરીરમાં લોહચુંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે, તે પોતાના પરમાણુ મળતાં આવે ત્યાં આકર્ષણ ઊભું થાય અને બીજાની જોડે કશું નહીં. એ આકર્ષણને આપણા લોકો રાગ-દ્વેષ કહે છે. કહેશે, ‘મારો દેહ ખેંચાય છે.’ અલ્યા, તારી ઇચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે ? માટે ‘તું’ કોણ છે ત્યાં આગળ ?

(પા.૪૨)

આપણે દેહને કહીએ ‘તું જઈશ નહીં’, તો ય ઊઠીને હેંડવા માંડે. કારણ કે પરમાણુનું બંધાયેલું છેને, તે પરમાણુનું ખેંચાણ છે આ. મળતાં પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય. નહીં તો આપણી ઈચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય ? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતનાં લોકો કહે, ‘મને આની પર બહુ રાગ છે.’ આપણે પૂછીએ, ‘અલ્યા, તારી ઈચ્છા ખેંચાવાની છે ?’ તો એ કહેશે, ‘ના, મારી ઈચ્છા નથી, તોય ખેંચાઈ જવાય છે.’ તો પછી આ રાગ નથી. આ તો આકર્ષણનો ગુણ છે. પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ માને છે કે ‘મેં જ આ કર્યું.’ અને આ ‘જ્ઞાન’ હોય તો પોતે ફક્ત જાણે કે દેહ આકર્ષણથી ખેંચાયો અને આ મેં કંઈ કર્યું નથી. એટલે આ દેહ ખેંચાય ને, તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે.

આ મન-વચન-કાયા આસક્ત સ્વભાવના છે. આત્મા આસક્ત સ્વભાવનો નથી અને આ દેહ આસક્ત થાય છે તે લોહચુંબક ને ટાંકણીનાં જેવું છે. કારણ કે એ ગમે એવું લોહચુંબક હોય તોય એ તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? હા, લોખંડ એકલાને ખેંચે. પિત્તળ હોય તો ના ખેંચે. એટલે સ્વજાતીયને ખેંચે. એવું આમાં જે પરમાણુ છેને આપણા બોડીમાં, તે લોહચુંબકવાળા છે, તે સ્વજાતીયને ખેંચે. સરખા સ્વભાવવાળા પરમાણુ ખેંચાય. ગાંડી વહુ જોડે ફાવે અને ડાહી બેન છે, તે એને બોલાવતી હોય તોય ના ફાવે. કારણ કે પરમાણુ મળતાં નથી આવતાં.

એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે ખાલી. પરમાણુ પરમાણુ મળી આવ્યાં. ત્રણ પરમાણુ આપણાં અને ત્રણ પરમાણુ એનાં, એમ પરમાણુ મળી આવ્યાં એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવાદેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું તો.

આ આસક્તિ તે દેહનો ગુણ છે, પરમાણુઓનો ગુણ છે. તે કેવો છે ? લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે તેમ, દેહને ફીટ થાય તેવાં પરમાણુમાં દેહ ખેંચાય, તે આસક્તિ છે.

આસક્તિ તો એબવ નોર્મલ અને બીલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ

(પા.૪૩)

નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં. આસક્તિ એ તો જડની આસક્તિ છે, ચેતનની તો નામેય નથી.

વ્યવહારમાં અભેદતા રહે, તેનું પણ કારણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં. જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે. અને પરમાણુ મળતાં ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય. માટે આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિમાં હિતાહિતનું ભાન ના હોય. પ્રેમમાં સંપૂર્ણ હિતાહિતનું ભાન હોય.

આ તો પરમાણુઓનું સાયન્સ છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી. પણ લોક તો ભ્રાંતિથી પરમાણુના ખેંચાણને માને છે કે, ‘હું ખેંચાયો.’ આત્મા ખેંચાય જ નહીં.

ક્યાં ભ્રાંત માન્યતા ! ક્યાં વાસ્તવિકતા !

આ તો સોય અને લોહચુંબકનાં ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી.

પ્રશ્નકર્તા : તો આ લોકોને એવી ખબર ના પડે કે આપણો પ્રેમ છે કે નહીં ?

દાદાશ્રી : પ્રેમ તો બધાંને ખબર પડે. દોઢ વર્ષના બાળકનેય ખબર પડે, એનું નામ પ્રેમ કહેવાય. આ બીજું બધું તો આસક્તિ છે. ગમે તેવા સંજોગોમાંય પ્રેમ વધે નહીં ને ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. બાકી, આને પ્રેમ કહેવાય જ કેમ ? આ તો ભ્રાંતિનો છે. ભ્રાંત ભાષાનો શબ્દ છે.

આસક્તિમાંથી ઉદ્ભવે વેર !

એટલે જગતે બધું જ જોયું હતું પણ પ્રેમ જોયો નહોતો અને જગત જેને પ્રેમ કહે છે એ તો આસક્તિ છે. આસક્તિમાંથી આ ડખા ઊભા થાય છે બધા.

(પા.૪૪)

અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું નથી રહ્યું, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, ફાઉન્ડેશન જ વેરનાં છે. માટે વેર છોડો. એટલે તો અમે વેરનો નિકાલ કરવાનો કહીએ છીએ ને ! સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે.

ભગવાન કહે છે કે, દ્વેષ પરિષહ ઉપકારી છે. પ્રેમ પરિષહ કદી જ નહીં છૂટે. આખું જગત પ્રેમ પરિષહમાં ફસાયેલું છે. માટે દરેકને જાળીએ રહીને ‘જય શ્રીકૃષ્ણ’ કરીને છૂટી જજો. કોઈના તરફ પ્રેમ રાખશો નહીં અને કોઈના પ્રેમમાં ફસાશો નહીં. પ્રેમને તરછોડીને પણ મોક્ષે ના જવાય. માટે ચેતજો ! મોક્ષે જવું હોય તો વિરોધીઓનો તો ઉપકાર માનજો. પ્રેમ કરે છે તે જ બંધનમાં નાખે છે જ્યારે વિરોધીઓ ઉપકારી-હેલ્પિગ થઈ પડે છે. જેણે આપણી ઉપર પ્રેમ ઢોળ્યો છે તેને તરછોડ ના લાગે તેમ કરી છૂટવું. કારણ કે પ્રેમની તરછોડથી સંસાર ઊભો છે.

‘પોતે’ અનાસક્ત સ્વભાવી જ !

બાકી, ‘તમે’ અનાસક્ત છો જ. અનાસક્તિ કંઈ મેં તમને આપી નથી. અનાસક્ત ‘તમારો’ સ્વભાવ જ છે અને તમે એમ માનો, દાદાનો ઉપકાર માનો કે દાદાએ અનાસક્તિ આપી. ના, ના, મારો ઉપકાર માનવાની જરૂર નથી. અને ‘હું ઉપકાર કરું છું’ એમ માનીશ તો મારો પ્રેમ ખલાસ થતો જાય. મારાથી ‘હું ઉપકાર કરું છું’ એવું ના મનાય. એટલે પોતે પોતાની પૂરી સમજમાં રહેવું પડે, સંપૂર્ણ જાગૃતિમાં રહેવું પડે.

એટલે અનાસક્ત તમારો પોતાનો સ્વભાવ છે. તમને કેમ લાગે છે ? મેં આપ્યું છે કે તમારો પોતાનો સ્વભાવ જ છે ?

પ્રશ્નકર્તા : પોતાનો સ્વભાવ છે ને !

દાદાશ્રી : હા, એવું બોલોને જરા. આ તો બધું યે ‘દાદાએ આપ્યું. દાદાએ આપ્યું’ કહો, તે ક્યારે પાર આવશે ?

પ્રશ્નકર્તા : પણ એનું ભાન તો તમે કરાવ્યું ને ?

(પા.૪૫)

દાદાશ્રી : હા, પણ ભાન કરાવ્યું એટલું જ ! બાકી ‘બધું મેં આપ્યું છે’ એમ કહો પણ તે તમારું છે ને તમને આપ્યું છે.

પ્રશ્નકર્તા : અમારું છે એ આપે આપ્યું. પણ અમારું હતું એવું અમે જાણતા ક્યાં હતા ?

દાદાશ્રી : જાણતા નહોતા, પણ જાણ્યુંને છેવટે ! જાણ્યું એનો રોફ તો જુદો જ ને ! એનો રોફ કેવો પડે ? નહીં ! કોઈક ગાળ ભાંડે તોય એનો રોફ ના જાય. હા, રોફ કેવો પડે ?! અને પેલો રોફવાળાનો ? ‘આમ આમ’ ના કર્યું હોયને, તો ટાઢોટપ ! ‘આમ આમ’ કરવાનું રહી ગયું ‘રિસેપ્શન’માં, તો ટાઢોટપ !! ‘બધાને કર્યું ને હું રહી ગયો.’ જો આ રોફ અને એ રોફમાં કેટલો ફેર ?

પ્રશ્નકર્તા : એટલે પહેલાં આસક્ત જેમાં હોઈએ છીએ, ત્યાં જ પછી અનાસક્ત પર આવશે.

દાદાશ્રી : હા, એ તો રસ્તો જ છે ને ! એ એનાં સ્ટેપિંગ જ છે બધાં. બાકી છેવટે અનાસક્ત યોગમાં આવવાનું છે.

અભેદ પ્રેમ ત્યાં બુદ્ધિનો અંત !

ભગવાન કેવા છે ? અનાસક્ત ! કોઈ જગ્યાએ આસક્ત નહીં.

પ્રશ્નકર્તા : અને જ્ઞાની યે અનાસક્ત જ ને ?

દાદાશ્રી : હા. તેથી અમારો નિરંતર પ્રેમ હોય ને તે બધે સરખો, સમાન પ્રેમ હોય. ગાળો ભાંડે તેની પર સમાન, ફૂલ ચઢાવે તેની પર સમાન અને ફૂલ ના ચઢાવે તેની પરે ય સમાન. અમારા પ્રેમમાં ભેદ ના પડે અને અભેદ પ્રેમ છે, ત્યાં તો બુદ્ધિ જતી રહે પછી. હંમેશાં પ્રેમ પહેલાં, બુદ્ધિને તોડી નાખે અગર તો બુદ્ધિ પ્રેમને આસક્ત બનાવે. એટલે બુદ્ધિ હોય ત્યાં પ્રેમ ના હોય ને પ્રેમ હોય ત્યાં બુદ્ધિ ના હોય. અભેદ પ્રેમ ઉત્પન્ન થાય કે બુદ્ધિ ખલાસ થઈ એટલે અહંકાર ખલાસ થયો. પછી કશું રહ્યું નહીં અને મમતા ના હોય ત્યારે જ પ્રેમ સ્વરૂપ થઈ શકે. અમે તો અખંડ પ્રેમવાળા ! અમારે આ દેહ ઉપર મમતા નથી. આ વાણી ઉપર

(પા.૪૬)

મમતા નથી અને મન ઉપરે ય મમતા નથી.

વીતરાગતામાંથી પ્રેમ ઉદ્ભવે !

એટલે સાચો પ્રેમ ક્યાંથી લાવે ? એ તો અહંકાર ને મમતા ગયા પછી જ પ્રેમ હોય. અહંકાર ને મમતા ગયા સિવાય સાચો પ્રેમ હોય નહીં. સાચો પ્રેમ એટલે વીતરાગતામાંથી ઉત્પન્ન થયેલી એ વસ્તુ છે. દ્વંદ્વાતીત થયા પછી વીતરાગ થાય. દ્વૈત ને અદ્વૈત તો દ્વંદ્વ છે. અદ્વૈતવાળાને દ્વૈતના વિકલ્પો આવ્યા કરે. ‘એ દ્વૈત, એ દ્વૈત, એ દ્વૈત !’ તે દ્વૈત વળગે ઊલટું. પણ તે અદ્વૈતપદ સારું છે. પણ અદ્વૈતથી તો એક લાખ માઈલ જશે ત્યાર પછી વીતરાગતાનું પદ આવશે અને વીતરાગતાનું પદ આવ્યા પછી મહીં પ્રેમ ઉત્પન્ન થશે અને એ પ્રેમ ઉત્પન્ન થાય એ પરમાત્મ પ્રેમ છે. બે ધોલ મારો તોયે એ પ્રેમ ઘટે નહીં અને ઘટે તો આપણે જાણવું કે આ પ્રેમ નહોતો.

સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી. પણ આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું. તો પ્રેમ સંપાદન થાય. બાકી, પ્રેમ સંપાદન કરવો હોય તો એમ ને એમ ના થાય.

ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવાનું છે.

પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ સ્વરૂપ એટલે કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ ઘટી જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. એવો પ્રેમનો પાઠ શીખવાનો છે, બસ. બીજું કશું શીખવાનું નથી. હું જે દેખાડું એ પ્રેમ હોવો જોઈએ. આ જિંદગી પૂરી થતાં સુધીમાં આવી જશેને બધું ? તે પ્રેમ શીખો હવે !

રીત, પ્રેમસ્વરૂપ થવાની !

ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે તો એને પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ શું છે ? કે કોઈ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, નિર્દોષ જ છે જીવમાત્ર. કોઈ દોષિત દેખાય છે તે ભ્રાંતિથી જ દેખાય છે.

(પા.૪૭)

સારા દેખાય છે તેય ભ્રાંતિ અને દોષિત દેખાય છે તેય ભ્રાંતિ. બન્ને એટેચમેન્ટ-ડિટેચમેન્ટ છે. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જ્યારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. આ મારા-તારા એ ક્યાં સુધી લાગે છે ? કે જ્યાં સુધી બીજાને જુદા ગણીએ છીએ હજી. એની જોડે ભેદ છે ત્યાં સુધી આ મારા લાગે છે તેથી. તે આ એટેચમેન્ટવાળાને મારા ગણીએ છીએ ને ડિટેચમેન્ટવાળાને છે તે પારકાં ગણીએ છીએ, એ પ્રેમ સ્વરૂપ કોઈ સાથે રહે નહીં.

એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે એટલે આપણને ત્યાં આગળ પોતાને ત્યાં બધું જ દુઃખ વિસારે પડી જાય એ પ્રેમથી. એટલે પ્રેમથી બંધાયું એટલે પછી બીજું કશું બંધાવાનું રહ્યું નહીં.

પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ? જે અત્યાર સુધી ભૂલો થઈ હોય, તે માફી માંગી લઈએ. ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય.

એમનો દોષ એકુય નથી થયો પણ મને દેખાયો એટલે મારો દોષ હતો.

જેની જોડે પ્રેમ સ્વરૂપ થવું હોયને તે આ રીતે કરવું. તો તમને પ્રેમ ઉત્પન્ન થશે. કરવો છે કે નથી કરવો પ્રેમ ?

પ્રશ્નકર્તા : હા દાદા.

દાદાશ્રી : અમારી આ રીત હોય બધી. અમે જે રીતે તર્યા છીએ એ રીતે તારીએ બધાને.

તમે પ્રેમ ઉત્પન્ન કરશો ને ? પ્રેમ સ્વરૂપ થઈએ ત્યારે સામાને અભેદતા હોય. બધા અમારી જોડે એ રીતે અભેદ થયેલા છે. આ રીત ખુલ્લી કરી નાખી.

સર્વમાં હું ભાળે તે પ્રેમમૂર્તિ !

હવે જેટલો ભેદ જાય, તેટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમને

(પા.૪૮)

ઉત્પન્ન થવા માટે શું જવું જોઈએ આપણામાંથી ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે. એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આમાંથી ભેદ જાય. એટલે શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. એટલે જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે.

તમને સમજાયું ‘પોઈન્ટ ઓફ વ્યૂ’ ? આ જુદી જાતનું છે અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. કહેશે, ‘આ અમારું ને આ તમારું.’ પણ અહીંથી જતી વખતે ‘અમારું-તમારું’ હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય.

પ્રેમ એટલે આ બધું જ ‘હું’ જ છું, ‘હું’ જ દેખાઉં છું. નહીં તો ‘તું’ કહેવું પડશે. ‘હું’ નહીં દેખાય તો ‘તું’ દેખાય. બેમાંથી એક તો દેખાય જ ને ? વ્યવહારમાં બોલવાનું આમ કે ‘હું, તું.’ પણ દેખાવું જોઈએ તો ‘હું’ જ ને ! તે પ્રેમસ્વરૂપ એટલે શું ? કે બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું. અભેદભાવ જ માનવો. ‘આ જુદાં છે’ એવીતેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે.

જ્ઞાનીનો અભેદ પ્રેમ !

વિખૂટા નહીં પડવું, એનું નામ જ પ્રેમ. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ ! અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. ભેદ હોય તો સારું કામ કરી આવે ને, તો ખુશ થઈ જાય. પાછો થોડીવાર પછી નબળું કામ, ચાના પ્યાલા પડી ગયા તો ચિડાઈ જાય એટલે એબૉવ નોર્મલ, બિલો નોર્મલ થયા કરે. પેલું એ કામ જુએ નહીં. મૂળ સ્વભાવનાં દર્શન કરે. કામ તો આપણે નોર્માલિટીમાં પ્રોબ્લેમ ના થાય એવાં જ કામ થાય.

પ્રશ્નકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય એ શું છે ?

દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ બધે આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં

(પા.૪૯)

અભેદતા હોય. એટલે જગત જોડે અભેદતા ક્યારે કહેવાય ? કે પ્રેમસ્વરૂપ થાય તો. આખા જગત જોડે અભેદતા કહેવાય. એટલે ત્યાં આગળ બીજું કશું દેખાય નહીં, પ્રેમ સિવાય.

આસક્તિ ક્યારે કહેવાય છે ? કે જ્યારે કોઈ સંસારી ચીજ લેવી હોય ત્યારે. સંસારી ચીજનો હેતુ હોય ત્યારે. આ સાચા સુખને માટે તો ફાયદો થશે, એનો વાંધો નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઉઠી જશે.

પ્રશ્નકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના હૃદયના જ પ્રેમનું પરિણામ છે એમ જ ?

દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય. મારે વઢવું ના પડે.

હું, લડવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે ‘હું પ્રેમથી જગતને જીતવા માગું છું.’

કારણ કે હથિયાર મેં નીચે મૂકેલાં છે. જગત હથિયારને લઈને એ સામા થાય છે. ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલાં છે એટલે હું વાપરતો નથી. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ડિપ્રેસ ન થઉં ને હાર ચડાવો તો એલીવેટ ન થઉં, એનું નામ પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ શુદ્ધ પ્રેમમાં નહીં.

મનુષ્યો તો રૂપાળા હોય તો ય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપોય રૂપાળો દેખાય. શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.

આ તો કુદરતનો ‘લૉ’ છે, નેચરલ લૉ ! કારણ કે પ્રેમ એ ખુદ પરમાત્મા છે.

(પા.૫૦)

પ્રેમ ત્યાં જ મોક્ષમાર્ગ !

એટલે જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. આપણને ના આવડે, બોલતાંય ના આવડે તોય એ પ્રેમ રાખે તો જ સાચું.

એટલે એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ કે જે પ્રેમ વધઘટ ના થાય. આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.

આખું ‘રિલેટિવ ડિપાર્ટેમેન્ટ’ ઓળંગી જાય ત્યારે નિરાલંબ થાય, ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. ‘જ્ઞાન’ ક્યાં સાચું હોય ? જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય ત્યાં અને પ્રેમ હોય ત્યાં લેવડદેવડ ના હોય. પ્રેમ હોય ત્યાં એકતા હોય. જ્યાં ફી હોય ત્યાં પ્રેમ ના હોય. લોક ફી રાખે છેને, પાંચ-દસ રૂપિયા ? કે ‘આવજો, તમારે સાંભળવું હોય તો, અહીં નવ રૂપિયા ફી છે’ કહેશે. એટલે ધંધો થઈ ગયો ! ત્યાં પ્રેમ ના હોય. રૂપિયા હોય ત્યાં પ્રેમ ના હોય. બીજું, જ્યાં પ્રેમ ત્યાં ટ્રિક ના હોય ને જ્યાં ટ્રિક ત્યાં પ્રેમ ના હોય.

જ્યાં સૂઈ ગયા ત્યાંનો જ આગ્રહ થઈ જાય. ચટાઈમાં સૂતો હોય તો તેનો આગ્રહ થઈ જાય ને ડનલોપના ગાદલામાં સૂતો હોય તો તેનો આગ્રહ થાય. ચટાઈ પર સૂવાના આગ્રહવાળાને ગાદલામાં સૂવાડો તો તેને ઊંઘ ના આવે. આગ્રહ તે જ વિષ છે અને નિરાગ્રહતા એ જ અમૃત છે. નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો પ્રેમ સંપાદન ના થાય. શુદ્ધ પ્રેમ નિરાગ્રહતાથી પ્રગટે છે અને શુદ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે.

એટલે પ્રેમસ્વરૂપ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જો કાયદા ખોળશો તો પ્રેમસ્વરૂપ થવાય નહીં ! ‘કેમ મોડા આવ્યા ?’ કહે એ પ્રેમસ્વરૂપ ના કહેવાય અને પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે. હા, તમે આસક્તિવાળા તો તમારું કોણ સાંભળે ? તમને પૈસા જોઈએ છે, તમારે બીજી સ્ત્રીઓ જોઈએ છે, એ આસક્તિ કહેવાય ને ? શિષ્યો ભેળા કરવા એય આસક્તિ કહેવાય ને !

(પા.૫૧)

પ્રેમમાં ‘ઈમોશનલ’પણું નથી !

પ્રશ્નકર્તા : આ પ્રેમ સ્વરૂપ જે છે એ પણ કહેવાય છે કે હૃદયમાંથી આવે છે અને ઈમોશનલપણું પણ હૃદયમાંથી જ આવે છે ને ?

દાદાશ્રી : ના, એ પ્રેમ ન હોય. પ્રેમ તો શુદ્ધ પ્રેમ હોવો જોઈએ. આ ટ્રેનમાં બધા માણસો બેઠાં છે અને ટ્રેન ઈમોશનલ થાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : ગરબડ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય.

દાદાશ્રી : લોક મરી જાય. એવી રીતે આ માણસ ઈમોશનલ થાય છે ત્યારે મહીં એટલી બધી જીવાત મરી જાય છે અને એની જવાબદારી પોતાને માથે આવે છે. અનેક જાતની આવી જવાબદારીઓ આવે છે, ઈમોશનલ થઈ જવાથી ?

પ્રશ્નકર્તા : ‘ઈમોશન’ વગરનો માણસ પથ્થર જેવો ના થઈ જાય ?

દાદાશ્રી : હું ‘ઈમોશન’ વગરનો છું, તે પથ્થર જેવો લાગું છું ? બિલકુલ ‘ઈમોશન’ નથી મારામાં. ઈમોશનવાળો મિકેનિકલ થઈ જાય. પણ મોશનવાળો તો મિકેનિકલ થાય નહીં ને !

પ્રશ્નકર્તા : પણ જો પોતાનું ‘સેલ્ફ રિયલાઈઝ’ ના થયું હોય તો પછી આ ‘ઈમોશન’ વગરનો માણસ પથ્થર જેવો જ લાગે ને ?

દાદાશ્રી : એ હોય જ નહીં. એવું બને જ નહીં ને ! એવું કોઈ દહાડો બનતું જ નથી. નહીં તો પછી એને મેન્ટલમાં લઈ જાય છે. પણ એ મેન્ટલો ય બધા ઈમોશનલ જ હોય છે. આખું જગત જ ઈમોશનલ છે.

અશ્રુથી વ્યકત એ નહીં ખરી લાગણી !

પ્રશ્નકર્તા : સંસારમાં રહેવા માટે લાગણીની જરૂર છે. લાગણી પ્રદર્શિત કરવી જ પડે. લાગણી પ્રદર્શિત ન કરો, તો મૂઢ કહે છે. હવે જ્ઞાન આવે, જ્ઞાનની સમજ ઉતરે, પછી લાગણી એટલી પ્રદર્શિત નથી થતી. હવે કરવી જોઈએ, વ્યવહારમાં ?

(પા.૫૨)

દાદાશ્રી : શું થાય છે એ જોવાનું.

પ્રશ્નકર્તા : દાખલા તરીકે છોકરો બહારગામ ભણવા ગયો. અને એરપોર્ટ ઉપર મા ને બાપ બન્ને ગયાં, અને માની આંખમાંથી આંસુ પડ્યા અને બાપ રડ્યો નહીં. એટલે તું કઠણ પથ્થર જેવો છું, કહે છે.

દાદાશ્રી : ના, હોય નહીં, લાગણી આવી. બહારગામ જતો હોય તો શું ? એના આંખમાં આંસુ પડે તો એને વઢવી જોઈએ કે ઢીલી આવી કંઈ સુધી રહીશ, મોક્ષે જવું છે તો.

પ્રશ્નકર્તા : ના, એટલે એમ કે એ જો લાગણી ના હોય, તો એટલો માણસ છે તો કઠોર થઈ જાય છે. એ લાગણી વગરનો માણસ બહુ કઠોર હોય છે.

દાદાશ્રી : લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટું-ઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરજસ્તી થાય નહીં. એ તો નેચરલ ગિફ્ટ છે. એવું કહેતા હોય કે કઠણ પથ્થર જેવો છું, તો લાગણી ઉત્પન્ન થતી હોય તોય બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવુંય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય.

લાગણીવાળા તો અમેય, કોઈ દહાડોય રડીએ નહીં, પણ છતાંય બધાંને માટે લાગણી કાયમની. કારણ કે જેટલાં વધુ મળે એટલાં તો રોજ અમારા જ્ઞાનમાં આવતાં જ હોય બધાં.

પ્રશ્નકર્તા : મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે.

દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારેય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે ખાલી ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્ઝેક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે, તો

(પા.૫૩)

ના આવે એ. આ તો ડ્રામા પૂરતું જ હતું, કહે. એ સમજાયું ને ?

પ્રશ્નકર્તા : હા, સમજાય છે.

દાદાશ્રી : એટલે છોકરાને કહીએ, ‘આય ભાઈ, બેસ બા. તારા વગર મારું બીજું કોણ છે ?’ અમે તો હીરાબાને કહેતા’તા કે મને તમારા વગર ગમતું નથી. આ પરદેશ જઉં, પણ તમારા વગર મને ગમે નહીં.

પ્રશ્નકર્તા : બાને સાચુંય લાગે.

દાદાશ્રી : હા, સાચું જ હોય. મહીં અડવા ના દઈએ.

પ્રશ્નકર્તા : પહેલાંના જમાનામાં મા-બાપને છોકરાંઓ માટે પ્રેમ કે એની સરભરા એ બધી કરવાનો ટાઈમ જ નહોતો અને કંઈ પ્રેમ આપતાય નહોતા. બહુ ધ્યાન નહોતા આપતા. અત્યારે મા-બાપ છોકરાઓને બહુ પ્રેમ આપે, બધું ધ્યાન રાખે, બધું કરે તોય છોકરાંઓને મા-બાપ માટે બહુ પ્રેમ કેમ નથી હોતો ?

દાદાશ્રી : આ પ્રેમ તો, જે બહારનો મોહ એવો જાગ્રત થયેલો છે કે એમાં જ ચિત્ત જતું હોય છે. પહેલાં મોહ બહુ ઓછો હતો ને અત્યારે તો મોહના સ્થળ એટલાં બધાં થઈ ગયાં છે.

પ્રશ્નકર્તા : હા. અને મા-બાપ પણ પ્રેમનાં ભૂખ્યાં હોય કે અમારા છોકરાઓ છે, વિનય-બિનય રાખે.

દાદાશ્રી : પ્રેમ જ, જગત પ્રેમાધીન છે. જેટલી મનુષ્યોને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી છે. પણ પ્રેમ ટકરાયા કરે છે. શું કરે ? પ્રેમ ટકરાવો ના જોઈએ.

પ્રશ્નકર્તા : છોકરાઓમાં મા-બાપ પ્રત્યેનો પ્રેમ ઘણો છે.

દાદાશ્રી : છોકરાનેય ઘણું છે ! પણ છતાં ટકરાયા કરે.

આસક્તિ, ત્યાં સુધી ટેન્શન !

પ્રશ્નકર્તા : જેમ લાગણી વધારે તેમ તેનામાં પ્રેમ વધારે એવી

(પા.૫૪)

માન્યતા છે.

દાદાશ્રી : પ્રેમ જ નથી હોતો ને, આસક્તિ છે બધી. આ જગતમાં પ્રેમ શબ્દ હોતો નથી. પ્રેમ બોલવો એ ખોટી વાત છે. એ મહીં આસક્તિ હોય છે.

પ્રશ્નકર્તા : તો આ લાગણી અને લાગણીવેડા, એ સમજાવવા કૃપા કરશો ?

દાદાશ્રી : લાગણી ને લાગણીવેડા એ ‘ઈમોશનલ’માં જાય. માણસ ‘મોશન’માં ના રહી શકે એટલે ‘ઈમોશનલ’ થાય.

પ્રશ્નકર્તા : અંગ્રેજીમાં ‘ફિલિંગ’ અને ‘ઈમોશન’ બે શબ્દો છે.

દાદાશ્રી : હા, પણ ‘ફિલિંગ’ એ જુદી જ વસ્તુ છે અને ‘ઈમોશનલ’ વસ્તુ જુદી છે. લાગણી ને લાગણીવેડા ‘ઈમોશનલ’માં જાય.

કંઈ પણ લાગણી છે, આસક્તિ છે ત્યાં સુધી માણસને ‘ટેન્શન’ ઊભું થાય અને ‘ટેન્શન’થી પછી મોઢું બગડેલું હોય. અમારે પ્રેમ છે, તેથી તો ‘ટેન્શન’ વગર રહી શકીએ છીએ. નહીં તો બીજો માણસ ‘ટેન્શન’ વગર રહી શકે નહીં ને ! ‘ટેન્શન’ હોય જ બધાને, જગત આખું ‘ટેન્શન’વાળું !

લાગણીઓનું વહેણ, ‘જ્ઞાની’ને !

અમને ‘જ્ઞાની પુરુષ’ને લાગણીઓ હોય. હા, જેવી હોવી ઘટે એવી રીતે હોય. અમે તેને ‘હોમ’માં અડવા ના દઈએ. એવો કાયદો નથી કે મહીં ‘હોમ’માં સ્પર્શ થવા દેવો. લાગણી ના હોય તો મનુષ્ય જ કેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે લાગણી તો અમને પણ હોય. તમને જેવી હોય, એનાં કરતાં અમને ઊંચી લાગણી હોય, બધાને માટે હોય.

દાદાશ્રી : લાગણી હોય. અમે લાગણી વગર હોઈએ નહીં.

પ્રશ્નકર્તા : પણ છતાંય આપને એ લાગણી ‘ટચ’ નથી થતી.

(પા.૫૫)

દાદાશ્રી : જ્યાં કુદરતી રીતે બેસાડવી જોઈએ ત્યાં જ અમે બેસાડીએ અને તમે અકુદરતી જગ્યાએ બેસાડો.

પ્રશ્નકર્તા : એ ‘ડિમાર્કેશન’, જરા ફોડ પાડો ને !

દાદાશ્રી : ‘ફોરેન’ની વાત ‘ફોરેન’માં જ રાખવાની ને, ‘હોમ’માં નહીં લઈ જવાની. લોક ‘હોમ’માં લઈ જાય છે. ‘ફોરેન’માં મૂકી અને આપણે ‘હોમ’માં પેસવાનું.

પ્રશ્નકર્તા : પણ એ લાગણીનો પ્રવાહ હોય ત્યારે ‘એને’ ‘ફોરેન’નું ને ‘હોમ’નું ડિમાર્કેશન ના થવા દે ને ? બે ભાગ જુદા પડે નહીંને, તે વખતે ?

દાદાશ્રી : ‘જ્ઞાન’ લીધેલું હોય, તેને કેમ ના પડે ?

પ્રશ્નકર્તા : એ સમજવું છે કે આપ કઈ રીતે ‘એપ્લાય’ કરો છો !

દાદાશ્રી : અમે લાગણીને ‘ફોરેન’માં મૂકીને ‘હોમ’માં પેસીએ. તે લાગણી મહીં પેસતી હોય તો કહીએ, ‘બહાર બેસ.’ અને તમે તો કહેશો, ‘આવ ભઈ, આવ, આવ, મહીં આવ.’

‘અંદર અડવા ના દે,’ તેનાં પરિણામ....

અમને આ બધાય કહે છે કે, ‘દાદા, તમે અમારા માટે બહુ ચિંતા રાખો છો, નહીં !’ એ બરોબર છે. પણ એમને ખબર નથી કે દાદા ચિંતાને અડવા જ નથી દેતા. કારણ કે ચિંતા રાખનારો માણસ કશું જ કરી શકે નહીં, નિર્વીર્ય થઈ જાય. ચિંતા નથી રાખતા, તો બધું કરી શકે. ચિંતા રાખનારો માણસ તો ખલાસ થઈ જાય. એટલે આ બધા કહે છે એ વાત ખરી છે. અમે ‘સુપર ફ્લુઅસ’ બધુંય કરીએ, પણ અમે અડવા નથી દેતા.

પ્રશ્નકર્તા : તો આમ ખરેખર કશું ના કરો ? કોઈ મહાત્મા દુઃખમાં આવી ગયો તો કશું કરો નહીં ?

દાદાશ્રી : કરીએ ને ! પણ તે ‘સુપર ફ્લુઅસ’, અંદર અડવા ના દઈએ. બહારના ભાગનું પૂરું જ કરી લેવાનું. બહારના ભાગમાં બધા

(પા.૫૬)

જ પ્રયોગો પૂરા થવા દેવાના, પણ ચિંતા એકલી જ નહીં કરવાની. ચિંતાથી તો બધું બગડે છે ઊલટું. તમે શું કહો છો ? ચિંતા કરવાની કહો છો મને ?

અડવા દઈએ તો એ કામ જ ના થાય. આખા જગતને જ અડે છે ને ! અંદર અડે છે તેથી તો જગતનું કામ થતું નથી. અમે અડવા ના દઈએ તેથી તો કામ થાય. અડવા ના દઈએ એટલે અમારી ‘સેફસાઈડ’ ને એની યે ‘સેફસાઈડ’. તમને ગમ્યું એવું અડવા ના દે એ ? તમે તો અડવા દીધેલું, નહીં ?

અમે તો હિસાબ જોઈ લીધો કે અમે અડવા દઈએ તો અહીં નિર્વીર્ય થાય અને પેલાનું કામ થાય નહીં અને ના અડવા દઈએ તો એ આત્મવીર્ય પ્રગટ થાય અને પેલાનું કામ થાય.

આ વિજ્ઞાન પ્રેમસ્વરૂપ છે. પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશું હોય નહીં. એ હોય ત્યાં સુધી પ્રેમ હોય નહીં.

સાત્વિક નહીં, શુદ્ધ પ્રેમ ‘આ’ !

પ્રશ્નકર્તા : અત્યારે દુનિયામાં બધા લોકો શુદ્ધ પ્રેમ માટે વલખાં મારે છે.

દાદાશ્રી : શુદ્ધ પ્રેમનો જ આ રસ્તો છે. આપણું આ જે વિજ્ઞાન છેને, કોઈ પણ જાતની, કોઈ પણ પ્રકારની ઇચ્છા વગરનું છે, એટલે શુદ્ધ પ્રેમનો રસ્તો આ જાગ્યો છે. નહીં તો હોય નહીં આ કાળમાં. પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે.

પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ અને સાત્વિક પ્રેમનો જરા ભેદ સમજાવો.

દાદાશ્રી : સાત્વિક પ્રેમ એ અહંકાર સહિત હોય અને શુદ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય. સાત્ત્વિક પ્રેમમાં અહંકાર એકલો જ હોય. એમાં લોભ ના હોય, કપટ ના હોય, એમાં માન એકલું જ હોય. અહમ્ - હું છું, એટલું જ ! અસ્તિત્વનું ભાન હોય પોતાને અને શુદ્ધ પ્રેમમાં તો પોતે અભેદ સ્વરૂપ થઈ ગયા હોય.

(પા.૫૭)

પ્રશ્નકર્તા : પણ એવું છે ખરું કે કોઈ પણ ક્રિયાની અંદર પછી એ સાત્ત્વિક ક્રિયા હોય, રજોગુણી ક્રિયા હોય કે કોઈ પણ જાતની ક્રિયા હોય તો એ ક્રિયામાં અહંકારનું તત્ત્વ ના હોય. એ તાર્કિક રીતે સાચું છે ?

દાદાશ્રી : ના બની શકે. અરે, એવું કરવા જાય તો ભૂલ છે. કારણ કે અહંકાર સિવાય ક્રિયા જ ના થાય. સાત્ત્વિક ક્રિયા પણ થાય નહીં.

પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ રાખવાનો તો ખરોને ? તો એ અહંકાર સિવાય ધારણ કેવી રીતે થાય ? અહંકાર ને શુદ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં ?

દાદાશ્રી : અહંકાર છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ આવે જ નહીં ને ! અહંકાર ને શુદ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં. શુદ્ધ પ્રેમ ક્યારે આવે ? અહંકાર ઓગળવા માંડે ત્યારથી શુદ્ધ પ્રેમ આવવા માંડે અને અહંકાર સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુદ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા છે. ત્યાં આગળ તમારું બધી જ જાતનું કલ્યાણ થઈ જાય. એ નિષ્પક્ષપાતી હોય, કોઈ પક્ષપાત ના હોય. શાસ્ત્રોથી પર હોય. ચાર વેદ ભણી રહે, ત્યારે વેદ ‘ઈટસેલ્ફ’ બોલે કે ‘ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.’ તો ‘જ્ઞાની પુરુષ’ કહે છે, ધીસ ઈઝ ધેટ, બસ ! ‘જ્ઞાની પુરુષ’ તો શુદ્ધ પ્રેમવાળા એટલે તરત જ આત્મા આપી દે.

એ ફક્ત બે ગુણ છે એમનામાં. એ શુદ્ધ પ્રેમ છે અને શુદ્ધ ન્યાય છે. બે છે એમની પાસે. શુદ્ધ ન્યાય જ્યારે આ જગતમાં થાય ત્યારે જાણવું કે આ ભગવાનની કૃપા ઊતરી. શુદ્ધ ન્યાય ! નહીં તો આ બીજા ન્યાય તો સાપેક્ષ ન્યાય છે !

પ્રેમ પ્રગટાવે આત્મ ઐશ્ચર્ય !

કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્ત્યા કરે કે સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય ?

પ્રશ્નકર્તા : મારે જરા, પ્રેમ અને કરુણાનો શું સંબંધ છે ? એ જાણવું છે.

દાદાશ્રી : એ કરુણા અમુક દ્રષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય. અને

(પા.૫૮)

અમુક દ્રષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે. ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું ? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામીન કહેવામાં આવે છે. પ્રેમ તો વિટામીન કહેવાય. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મ વિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ? એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે. ઐશ્ચર્યપણું પ્રગટ થાય.

પ્રશ્નકર્તા : એ સહજ જ થાયને દાદા ?

દાદાશ્રી : સહજ.

પ્રશ્નકર્તા : એટલે એમાં પેલાને કોઈ પ્રકારનું કશું કરવાનું રહેતું નથી.

દાદાશ્રી : કશું નહીં. આ બધો માર્ગ જ સહજનો છે.

ગાળ ભાંડનારા પરે ય પ્રેમ !

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે, એમાં કંઈ પ્રેમ, પ્રેમ, પ્રેમ ઊભરાય છે એ શું છે ?

દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. જે રાગથી સંસારના રાગ બધા છૂટી જાય. આવો રાગ ઉત્પન્ન થાય એટલે સંસારમાં જે બીજા રાગ બધે લાગેલા હોય એ બધા પાછા આવી જાય. આને પ્રશસ્ત રાગ કહ્યો ભગવાને. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ રાગ બાંધે નહીં. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. ઉપકારી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય, એ પ્રશસ્ત રાગ. એ બધા રાગને છોડાવડાવે.

આ ‘દાદા’નું નિદિધ્યાસન કરીએ તો એમનામાં જે ગુણો છે ને, તે ઉત્પન્ન થાય આપણામાં. બીજું એ કે જગતની કોઈ વસ્તુની સ્પૃહા નહીં કરવાની, ભૌતિક ચીજની સ્પૃહા કરવી નહીં. આત્મસુખ જ વાંછવું, બીજું કંઈ વાંછવું જ નહીં અને કોઈ આપણને ગાળ ભાંડી ગયો હોય એની જોડેય પ્રેમ ! એટલું હોય કે કામ થઈ ગયું પછી.

(પા.૫૯)

‘જ્ઞાની’, અજોડ પ્રેમાવતાર !

પ્રશ્નકર્તા : ઘણી વાર એવું થાય છે કે ઊંઘ્યા હોઈએ ને પાછું અર્ધ જાગ્રત અવસ્થા હોય અને ‘દાદા’ મહીં પેસી જાય છે, ‘દાદા’નું ચાલુ થઈ જાય છે, એ શું છે ?

દાદાશ્રી : હા, ચાલુ થઈ જાય. એવું છે ને, ‘દાદા’ સૂક્ષ્મભાવે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે. હું સ્થૂળભાવે અહીં હોઉં ને દાદા સૂક્ષ્મભાવે બધે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે, બધે ધ્યાન રાખે છે અને એવું નથી કે બીજા જોડે કશી ભાંજગડ છે.

એટલે ઘણા લોકોને ખ્વાબમાં આવ્યા જ કરે એની મેળે, અને કેટલાક તો દિવસે ‘દાદા’ જોડે વાતોચીતો કરે છે. પેલો મને કહેય ખરો કે, મારી જોડે દાદા, તમે આવી રીતે વાતચીત કરી ગયા ! દહાડે ઊઘાડી આંખે એને દાદા કહે ને એ સાંભળે, ને એ લખી લે પાછો. આઠ વાગે લખી લે કે આટલું બોલ્યા છે. તે મને વંચાવી હઉ જાય પછી.

એટલે આ બધું થયા જ કરે છે. છતાં યે આમાં ચમત્કાર જેવી વસ્તુ નથી. આ સ્વાભાવિક છે. કોઈ પણ માણસની આવરણરહિત સ્થિતિ થાય અને થોડું કંઈક કેવળજ્ઞાનને અંતરાય કરે એટલું આવરણ રહ્યું હોય અને જગતમાં જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન થયો હોય, જેનો જોટો ના જડે એવો પ્રેમાવતાર થયેલો હોય, ત્યાં બધું જ થાય.

હવે નિસ્પૃહ પ્રેમ હોય છે, પણ તે અહંકારી પુરુષને હોય છે. એટલે અહંકારનું, મહીં એનું ‘એબ્સોર્બ’ તો કરે ને કે ના કરે ? કરે. એટલે એમાં સંપૂર્ણ નિસ્પૃહ હોય નહીં. અહંકાર જાય ત્યાર પછી બધો ખરો પ્રેમ હોય.

એટલે આ પ્રેમાવતાર છે. તે જ્યાં કોઈને કંઈક સહેજ મન ગૂંચાયું કે ત્યાં પોતે આવીને હાજર !

પ્રેમ, સર્વે પર સરખો !

આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને ! આ તો

(પા.૬૦)

કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને નહીં ને !

હમણે શરીરે જાડો દેખાય તેની ઉપરેય પ્રેમ, ગોરો દેખાય તેની પરેય પ્રેમ, કાળો દેખાય તેની ઉપરેય પ્રેમ, લૂલો-લંગડો દેખાય તેની પરેય પ્રેમ, સારા અંગવાળો માણસ દેખાય તેની પરેય પ્રેમ. બધે સરખો પ્રેમ દેખાય. કારણ કે એના આત્માને જ જુએ. બીજી વસ્તુ જુએ નહીં. જેમ આ સંસારમાં લોકો માણસનાં કપડાં જોતા નથી, એનાં ગુણ કેવાં છે એવું જુએ, એવી રીતે ‘જ્ઞાની પુરુષ’ આ પુદ્ગલને ના જુએ. પુદ્ગલ તો કોઈનું વધારે હોય, કોઈનું ઓછું હોય, કંઈ ઠેકાણું જ નહીં ને !

અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુદ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. બાળકો તો ઊઠે નહીં. કારણ કે વાતાવરણ એટલું બધું સુંદર હોય.

એવું પ્રેમસ્વરૂપ ‘જ્ઞાની’નું !

એટલે પ્રેમ ‘જ્ઞાની પુરુષ’નો જ જોવા જેવો ! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજે ય પ્રેમરહિત થયો નહીં હોય. એ પ્રેમથી જીવી રહ્યા છે બધા.

પ્રશ્નકર્તા : એ તો બહુ અઘરું છે.

દાદાશ્રી : પણ તે અમારામાં આ પ્રેમ પ્રગટ થયેલો છે. તે કેટલાય માણસ અમારા પ્રેમથી જ જીવે છે. નિરંતર દાદા, દાદા, દાદા ! ખાવાનું ના મળે તો યે કશો વાંધો નહીં. એટલે પ્રેમ એવી વસ્તુ છે આ.

હવે આ પ્રેમથી જ બધાં પાપો એમનાં ભસ્મીભૂત થઈ જાય. નહીં તો કળિયુગનાં પાપ શું ધોવાનાં હતાં તે ?

છતાં રહ્યો ફેર ચૌદશ - પૂનમમાં !

એટલે જગતમાં ક્યારેય પણ જોયો ના હોય એવો પ્રેમ ઉત્પન્ન થયો છે. કારણ કે પ્રેમ ઉત્પન્ન થતો હતો, પણ તે જગ્યા વીતરાગ થઈ ગયેલા હતા. જ્યાં પ્રેમ ઉત્પન્ન થાય એવી જગ્યા હતી, તે સંપૂર્ણ વીતરાગ હતા.

(પા.૬૧)

એટલે ત્યાં પ્રેમ દેખાય નહીં. અમે કાચા રહી ગયા, તે પ્રેમ રહ્યો ને સંપૂર્ણ વીતરાગતા ના આવી.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમે પ્રેમ સ્વરૂપ થયા પણ ત્યારે સંપૂર્ણ વીતરાગતા ના ઉત્પન્ન થઈ. એ જરા સમજવું હતું.

દાદાશ્રી : પ્રેમ એટલે શું ? કિંચિત્માત્ર કોઈના તરફ સહેજ પણ ભાવ બગડે નહીં, એનું નામ પ્રેમ. એટલે સંપૂર્ણ વીતરાગતા એનું નામ જ પ્રેમ કહેવાય.

પ્રશ્નકર્તા : તો પ્રેમનું સ્થાન ક્યાં આવ્યું ? અહીં કઈ સ્થિતિમાં પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : પ્રેમ તો, જેટલો વીતરાગ થયો એટલો પ્રેમ ઉત્પન્ન થયો. સંપૂર્ણ વીતરાગ ને સંપૂર્ણ પ્રેમ ! એટલે વીતદ્વેષ તો તમે બધા થઈ ગયેલા જ છો. હવે વીતરાગ ધીમે ધીમે થતા જાવ દરેક બાબતમાં, એમ પ્રેમ ઉત્પન્ન થતો જાય.

પ્રશ્નકર્તા : ત્યારે અહીં આપે કહ્યું કે અમારે પ્રેમ કહેવાય. વીતરાગતા ના આવી એ શું ?

દાદાશ્રી : વીતરાગતા એટલે આ અમારો પ્રેમ છે, તે આમ પ્રેમ દેખાતો હોય ને આ વીતરાગોનો પ્રેમ આમ દેખાય નહીં. પણ ખરો પ્રેમ તો એમનો જ કહેવાય અને અમારો પ્રેમ લોકોને દેખાય. પણ તે ખરો પ્રેમ ના કહેવાય. એક્ઝેક્ટલી જેને પ્રેમ કહેવામાં આવે છેને, એ ના કહેવાય. એક્ઝેક્ટલી તો સંપૂર્ણ વીતરાગતા થાય ત્યારે સાચો પ્રેમ અને અમારે તો હજુ ચૌદશ કહેવાય, પૂનમ ન્હોય !!

પ્રશ્નકર્તા : એટલે પૂનમવાળાને આના કરતાં પણ વધુ પ્રેમ હોય ?

દાદાશ્રી : એ પૂનમવાળાનો જ સાચો પ્રેમ ! આ ચૌદશવાળામાં કોઈ જગ્યાએ કચાશ હોય. એટલે પૂનમવાળાનો જ સાચો પ્રેમ હોય.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ વીતરાગતા હોય ને પ્રેમ વગરનો હોય, એવું તો બને જ નહીં ને ?

(પા.૬૨)

દાદાશ્રી : પ્રેમ વગર તો હોય જ નહીંને એ !

પ્રશ્નકર્તા : એટલે દાદા, ચૌદશ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, આટલો બધો તફાવત એમ ?

દાદાશ્રી : ઘણો તફાવત ! આ તો આપણને પૂનમ જેવો લાગે પણ તે ઘણો તફાવત ! અમારા હાથમાં કશું છે જ શું તે ? અને એમના, તીર્થંકરોના હાથમાં તો બધું જ !! અમારા હાથમાં શું છે ? છતાં પણ અમને સંતોષ રહે પૂનમ જેટલો ! અમારી શક્તિ, પોતાના માટે શક્તિ એટલી કામ કરતી હોય કે પૂનમ આપણને થયેલી હોય એવું લાગે !!

‘જ્ઞાની’ બંધાયા ‘પ્રેમથી’ !

પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન લીધા પછી બે-ત્રણ ભવ બાકી રહે તો તેટલા સમય પૂરતી તો સંપૂર્ણ કરુણા-સહાય કરવાને તો આપ બંધાયેલા છો કે નહીં ?

દાદાશ્રી : બંધાયેલા એટલે જ કે અમે પ્રેમથી બંધાયેલા છીએ. તે તમે જ્યાં સુધી પ્રેમ રાખો ત્યાં સુધી બંધાયેલા. તમારો પ્રેમ છૂટયો કે અમે છૂટા. અમે પ્રેમથી બંધાયેલા છીએ. તમારો સંસાર પ્રતિ પ્રેમ વળી ગયો તો છૂટા થઈ જશો અને આત્મા પ્રતિ પ્રેમ રહ્યો તો બંધાયેલા છીએ. કેમ લાગે છે તમને ? બંધાયેલા તો ખરા જ ! પ્રેમથી તો બંધાયેલા જ છીએ ને !

શુદ્ધ પ્રેમ સ્વરૂપ, એ જ પરમાત્મા !

અહંકારીને ખુશ કરવામાં કંઈ વાર લાગે એવું નથી, ગલીપચી કરો તોય ખુશ થઈ જાય અને જ્ઞાની તો ગલીપચી કરો તોય ખુશ ના થાય. કોઈ પણ સાધન, જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેનાથી ‘જ્ઞાની’ ખુશ થાય. ફક્ત આપણા પ્રેમથી જ ખુશ થશે. કારણ કે એ એકલા પ્રેમવાળા છે. એમની પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં. આખા જગત જોડે એમને પ્રેમ છે.

(પા.૬૩)

‘જ્ઞાની પુરુષ’નો શુદ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુદ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં, ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂક્ષ્મ પરમાત્મા, એ સમજતાં વાર લાગે. એટલે પરમાત્મા બહાર ખોળવા જવાના નથી. બહાર તો આસક્તિ છે બધી. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે !!!

જય સચ્ચિદાનંદ

નવ કલમો

૧. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.

૨. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.

૩. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.

૪. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

૫. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો.

૬. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.

૭. હે દાદા ભગવાન ! મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો.

૮. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

૯. હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.

www.dadabhagwan.org