દાદા ભગવાન કથિત
સહજતા
સંકલન : દીપકભાઈ દેસાઈ
સંપાદકીયશ્રીમદ્ રાજચંદ્ર (કૃપાળુદેવે) કહ્યું છે કે જીવની સહજ સ્થિતિ થવી તેને જ શ્રી વીતરાગ ભગવંતોએ મોક્ષ કહ્યો છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, એને માટે લોકોએ અથાગ પ્રયત્નો આદર્યા છે. મારે કર્મો ખપાવવા છે, મારે કષાયો કાઢવા છે, મારે રાગ-દ્વેષ કાઢવા છે, મારે ત્યાગ કરવો છે, મારે તપ કરવા છે, ધ્યાન કરવું છે, ઉપવાસ કરવા છે અને એ માર્ગ ખોટો પણ નથી. પણ તીર્થંકર ભગવાન હાજર હોય તો એમને આધીન ઘર, વ્યવહાર સર્વ પરિગ્રહ છોડી લોકો ભગવાનના શરણમાં પહોંચી જતા અને ભગવાનની આજ્ઞાના આરાધને કેવળ જ્ઞાન પામી મોક્ષે પહોંચી જતા. ક્રમિક માર્ગનો રિવાજ જ છે કે પરિગ્રહ છોડતા જાવ તેટલી મમતા છૂટે, કષાય છૂટે, તેમ કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભને ખલાસ કરતાં કરતાં, અહંકારમાં ક્રોધ-માન-માયા-લોભનું એક પરમાણુ પણ ના રહે ત્યારે એ શુદ્ધ અહંકાર કેવળ આત્મામાં અભેદ થઈ પૂર્ણાહુતિ પામે છે. તે ચોથા આરામાં (શકય!) થઈ જતું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીએ એવી શોધખોળ કરી કે આ કાળમાં મન-વચન-કાયાનો એકાત્મયોગ છૂટી ગયો છે. બાહ્ય દ્રવ્ય ને અંતર ભાવની એકતા તૂટી ગઈ છે, તો આ કાળમાં રાગ-દ્વેષ, કષાયો કાઢતાં કાઢતાં પોતાનો દમ નીકળી જાય. તો બીજો શો ઉપાય ? મૂળ આત્મા સહજ છે, શુદ્ધ જ છે. આ વ્યવહાર આત્મા અજ્ઞાનતાથી અસહજ થઈ ગયો છે. તેથી પ્રકૃતિ, મન-વચન-કાયા અસહજ થઈ ગયા છે. માટે વ્યવહાર આત્માને એવું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન આપો કે તેથી એ પોતે સહજ થાય. પછી પ્રકૃતિ સહજ કરવા માટે પાંચ આજ્ઞા આપી કે ધીમે ધીમે આ આજ્ઞામાં રહેવાથી પ્રકૃતિ સહજ થતી જાય. જેમ તળાવમાં સ્થિર પાણી હોય ને તેમાં એક પથ્થર નાખ્યો તો પાણી ઊંચું-નીચું, ઊંચું-નીચું થઈને વમળો થઈ હલાહલી થઈ જશે. હવે પાણીને સ્થિર કરવું હોય તો શું કરવું પડે ? નવા પથરા નાખીએ તો જલદી સ્થિર થાય ? પાણીને બધાએ પકડવું પડે ? ના. કંઈ જ ના કરવાથી એ સ્થિર થઈને ઊભું રહેશે. તો પોતે શું કરવું ? જોયા કરવું, તો ઓટોમેટિક સ્થિર થઈ જશે જ. કુદરતનો નિયમ છે, પોતે એક ફેરો જ દડો નાખે છે, તેના પચ્ચીસ ગણા, પચાસ ગણા, સો ગણા રિબાઉન્સ થઈને દડાના ટપ્પા પડ્યા કરે છે. તેમાં પોતે ગૂંચાઈ જાય છે અને દડાને જેમ પકડીને સ્થિર કરવા જશે તેમ તેમ દડો વધુ ઉછળશે ને સ્થિર નહીં થાય. તો એનો ઉપાય શું ? શું બને છે જોયા કરો. દડાને સ્થિર કરવાનો પ્રયત્નેય કરવાનો નથી. તો એની મેળે એ થોડા ટપ્પા પડ્યા પછી જાતે જ સ્થિર થશે. એમ પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્ભૂત શોધખોળ છે કે પ્રકૃતિની અસહજતાનું મૂળ કારણ પોતાની અજ્ઞાનતા છે. અજ્ઞાનતાથી પ્રકૃતિમાં ડખોડખલ થઈને પ્રકૃતિની અસહજતા થઈ ગઈ છે. હવે આમાંથી સહજ થવાનો ઉપાય શો ? પહેલા પોતે જ્ઞાન પામે તો નવા સ્પંદન બંધ થાય. પહેલો પોતે સહજાત્મા થાય. પછી ધીમે ધીમે પ્રકૃતિ સહજ થાય. જ્ઞાન પછી દાદાશ્રી પાંચ આજ્ઞા એવી આપી છે કે જે પાળવાથી પ્રકૃતિમાં ડખલ બંધ થતી જાય છે ને પોતાનું જ્ઞાતા-દ્રષ્ટા પદ શરૂ થતું જાય છે અને અંતે પોતે કમ્પ્લિટ જ્ઞાનમાં રહેવાથી આ બાજુ પ્રકૃતિ સંપૂર્ણ સહજ થાય છે ને બન્ને સહજ થઈ ગયા એટલે પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ ગઈ. સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ એવા કારુણ્યમૂર્તિ પરમ પૂજ્ય દાદા ભગવાનના શ્રીમુખેથી સહજ સરેલી આ પ્રત્યક્ષ સરસ્વતીને અત્રે ‘સહજતા’ ગ્રંથમાં સંકલિત કરી છે. પ્રસ્તુત સંકલનમાં શુદ્ધાત્મા પદમાં સ્થિત થયા પછી અપ્રયત્ન દશામાં પુરુષાર્થ માંડી પૂર્ણ દશા પ્રાપ્ત કરવાના સુધીના સોપાન પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાં ખુલ્લા થયા છે. મહાત્માઓએ તો છેલ્લી દશાનું ચિત્ર સમજી લેવાનું છે અને જીવનના અંતિમ ધ્યેય તરીકે લક્ષમાં રાખવાનું છે કે જ્યારે ત્યારે આવી સહજ, અપ્રયત્ન દશા પ્રાપ્ત થાય. ત્યાર વગર પૂર્ણાહુતિ થવાની નથી. ત્યાં સુધી જ્ઞાનીનું જ્ઞાન અને આજ્ઞાની આરાધના પ્રગતિના ઉપરના પગથિયાં ચઢાવ્યા કરશે. અનેક મુમુક્ષુઓ-મહાત્માઓ સાથે વર્ષોથી જુદા જુદા ક્ષેત્રે નિમિત્તાધીન નીકળેલી વાણીને અત્રે સંકલિત કરી એકધારી સળંગ બનાવવાના પ્રયાસો થયા છે. સુજ્ઞ વાચકને ક્યાંક કંઈ ક્ષતિ લાગે તો તે સંકલનની ખામીને કારણે છે. કારણ કે જ્ઞાની પુરુષની અવિરોધાભાસ, સ્યાદ્વાદ વાણી, સહજતાની પૂર્ણ દશામાં વર્તીને નીકળેલી માલિકી વગરની વાણી છે. તેથી તેમાં કોઈ ક્ષતિ હોઈ શકે જ નહીં. - દીપક દેસાઈ પ્રસ્તાવનાપરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીનું સંકલન એટલે જ વ્યવસ્થિત શક્તિથી સંયોગો જ નિમિત્તોની સંકલનાનું પરિણામ. અનંત અવતારના પરિભ્રમણમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને થયેલા અનેકો અનુભવો નિર્મોહી દશાને લઈને તાદશ્ય વર્તાયા કરતા હતા, તે આ ભવે નિમિત્ત આધીન સહજ જ્ઞાનવાણી નીકળતા આત્મા-અનાત્માના સાંધા પરના ગુહ્ય રહસ્યોના સૂક્ષ્મ ફોડ પડતા ગયા. પૂજ્ય નીરુમાએ આ જગત ઉપર અસીમ કૃપા કરી કે પરમ પૂજ્ય દાદાશ્રીના તમામ શબ્દેશબ્દ ટેપરેકર્ડ દ્વારા ઝીલી લીધા. પૂજ્ય નીરુમાએ દાદાની વાણીના સંકલન કરી ચૌદ આપ્તવાણીઓ તથા પ્રતિક્રમણ, વાણીનો સિદ્ધાંત, મા-બાપ, છોકરાનો વ્યવહાર, પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર, આપ્તસૂત્ર, હિન્દી આપ્તવાણી, નિજદોષ દર્શનથી નિર્દોષ, પૈસાનો વ્યવહાર, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આદિ અનેક પુસ્તકો તેમજ તેના સંક્ષિપ્ત, તેમજ અનેક પુસ્તિકાઓ કરેલ હતી. અને એમની સ્થૂળ દેહની અનુપસ્થિતિમાં આ જવાબદારી આવી પડી છે, પણ ઘણા બધા બ્રહ્મચારી ભાઈઓ-બહેનો તથા સેવાર્થી મહાત્મા ગણના આધારે આ વાણીની પુસ્તકોમાં સંકલનની કાર્યવાહી આગળ થઈ રહી છે. હવે જેમ કારખાનામાં માલસામાન ભેગો થઈ ફાઈનલ પ્રોડક્ટ બને, એવી રીતે જ્ઞાનવાણીના કારખાનામાં દાદાના જ્ઞાનવાણીના પુસ્તકો બને છે. કેટલાય મહાત્માઓની ગુપ્ત મૌન સેવાથી કેસેટોમાંથી દાદાશ્રીની વાણી ઉતરાય છે. વાણી ઉતરી ગયા પછી ચેકીંગમાં થાય ને પાછું રિચેકીંગ થઈ શુદ્ધતા જેમ છે તેમ વાણીની જાળવણીનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. પછી સબ્જેક્ટ પ્રમાણે કલેક્શન થાય, કલેક્શન પાછું વિવિધ દ્રષ્ટિકોણવાળી વાતોમાં પાછું વિભાજન થાય અને એક વ્યક્તિની સાથે પરમ પૂજ્ય દાદાશ્રી સત્સંગની વાતચીત કરતા હોય, તેવા ભાવપૂર્વક અજ્ઞાનથી, જ્ઞાનના અને કેવળજ્ઞાન સુધીના સાંધાના સર્વ ફોડને આપતી વાણીની સંકલના થાય. છેવટે પ્રૂફ રિડીંગ થઈને પ્રિન્ટીંગ થાય છે. અને આમાં સૂક્ષ્મમાં પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપા, પૂજ્ય નીરુમાના આશીર્વાદ, દેવ-દેવીઓની સહાયતાથી અને દરેક ડિપાર્ટમેન્ટમાં અનેક મહાત્માગણની સેવાના નિમિત્તથી અંતે આ પુસ્તક આપના હાથમાં આવી રહ્યું છે. દાદાશ્રીએ અનેક મહાત્માઓ-મુમુક્ષુઓ સાથે ૨૦ વર્ષમાં ઘણાંબધાં સત્સંગો કર્યા છે, તેમાંથી કેટલાંય ટુકડાઓને અત્રે એવી રીતે સંકલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જાણે તે એક જ વ્યક્તિ સાથે સત્સંગ થઈ રહ્યો હોય. જેમ એક ફિલ્મ માટે પ્રોડ્યુસર, ડાયરેક્ટર જુદી જુદી ક્લિપો બનાવે છે, એક કલાકારના જીવનમાં બાળપણ, લગ્ન, મૃત્યુ કાશ્મિરમાં હોય, તો એક સાથે બધું ફિલ્મ પાડીએ, પછી સ્કૂલ, યુવાની, ધંધો વગેરે દિલ્હીમાં હોય, ફરવા પેરિસ, સ્વીટ્ઝરલેન્ડ ગયા હોય. આમ અનેક ક્લિપો હોય પણ પછી એડીટીંગ થઈને આપણને નાનપણથી મૃત્યુ સુધીના સીન (દ્રશ્યો) જોવા મળે. એમ દાદાશ્રી એમની વાણીમાં એક સબ્જેક્ટ માટે બિગિનિંગથી એન્ડ (શરૂઆતથી અંત) સુધીની બધી વાતો કહી ગયા છે. જુદા જુદા નિમિત્તે, જુદા કાળે, જુદા ક્ષેત્રે નીકળેલી વાણી અત્રે હવે આપણને આ એડીટીંગ (સંકલિત) થઈને પુસ્તક રૂપે મળે છે. આત્મા-અનાત્માના સાંધા ઉપર રહીને આખો સિદ્ધાંત ખુલ્લો કર્યો છે. આપણે આ વાણી વાંચીને સ્ટડી કરીએ કે જેથી એમણે જે અનુભવ્યું, તે આપણને સમજાય ને અંતે અનુભવાય. - દીપક દેસાઈ ઉપોદ્ઘાત[1] સહજ ‘લક્ષ’ સ્વરૂપનું, અક્રમ થકી‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ’ એવા જ્ઞાની પુરુષ દાદાશ્રીની કૃપાથી બે કલાકમાં ‘આ’ આત્મજ્ઞાન મળ્યા પછી ‘પોતે’ સમ્યક્ દ્રષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે’ મિથ્યા દ્રષ્ટિવાળો હતો. જ્ઞાની આ રોંગ બિલીફો (મિથ્યા દ્રષ્ટિ) ફ્રેક્ચર કરી નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક્ દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ ન હોય, હું શુદ્ધાત્મા છું’, એવી બિલીફ બેસી જાય. પછી ‘હું શુદ્ધાત્મા છું’નો ખ્યાલ એની મેળે જ આવે, એ સહજ કહેવાય. આમાં ‘હું શુદ્ધાત્મા છું’, એ રટણ કે સ્મરણ નથી, એ તો અંશ અનુભવ છે. જે અક્રમથી સહજ પ્રાપ્ત થાય છે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય, ત્યાર પછી આખી વાત સમજવી પડે. પછી જ્ઞાનીના પરિચયમાં રહી, જ્ઞાન સમજી લેવાનું છે. હજુ જેમ પ્રગતિ માંડશો તેમ તેમ અનુભવ વધતો જશે. જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે અને ના રહેવાય તો મહીં ખેદ રાખવાનો કે એવા તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે આપણને જંપીને બેસવા દેતા નથી. પોતાનો દ્રઢ નિશ્ચય અને આજ્ઞા પાળવાનો અભ્યાસ એને પ્રગતિ કરાવશે. આ રિલેટિવ-રીયલ જોવાનો પાંચ-સાત દહાડા અભ્યાસ કર કર કરવાથી એ જોવાનું સહજ થઈ જાય. હવે પ્રશ્ન થાય કે એક બાજુ દાદા કહે છે કે તમને તમારું સ્વરૂપ સહજ પ્રાપ્ત થઈ ગયું છે, હવે અભ્યાસ કે રટણ કરવાની જરૂર નથી અને બીજી બાજુ દાદા કહે છે કે સામાના શુદ્ધાત્મા જોવાનો થોડો અભ્યાસ કરો, પછી સહજ થઈ જશે. દેખીતી રીતે આ બન્ને વાત વિરોધાભાસ લાગે પણ ના, બન્ને વાત એની જગ્યાએ યોગ્ય જ છે. સ્વરૂપના લક્ષ માટે જ્યારે જ્ઞાન આપવામાં આવે છે ત્યારે કૃપાથી જ સહજ પ્રતીતિ બેસી જાય છે. જે પોતે જાતે કરીને ઉખાડે નહીં તો મોક્ષે જતાં સુધી આ સહજ પ્રતીતિ નહીં જાય અને જ્યારે સામાને શુદ્ધાત્મા જોવાનો વ્યવહાર આવે છે ત્યારે ભરેલો માલ આડો આવે છે, એટલે અભ્યાસની જરૂર પડે છે. પહેલા અજ્ઞાનતા હતી, તેથી ‘મેં આ કર્યું અને આ મેં જાણ્યું.’ એમ પોતે કર્તા ને દ્રષ્ટા બેઉ થઈ જતો હતો. તેથી અસહજ હતો. તે જ્ઞાન લીધા પછી સહજ થવાની શરૂઆત થાય છે. આ કૃપાથી જે પ્રાપ્ત થયું એ શુદ્ધાત્મા પદ છે, એ પ્રાપ્ત થયું ત્યારથી મોક્ષ થવાનો સિક્કો વાગી ગયો. હવે જ્ઞાનીની આજ્ઞા પાળો કે ધીમે ધીમે નિરાલંબ થઈને ઊભું રહેશે. જ્ઞાન પ્રાપ્તિ પછી આત્મદર્શન થયા પછી નિરાલંબની તૈયારીઓ થયા કરે, અવલંબનો ઓછા થતા જાય. મહાત્માઓએ આ વાત જાણી રાખવા જેવી છે કે જ્ઞાનમાં ઘણી ઊંચી દશા રહેતી હોય, દાખલા તરીકે નિરંતર શુદ્ધાત્માનું લક્ષ સહજ રીતે રહેતું હોય, ચિંતા, ક્રોધ-માન-માયા-લોભ વ્યવહારમાં ના થતા હોય, તોય એ મૂળ આત્મા સુધી પહોંચ્યાની દશા નથી. આ શુદ્ધાત્મા એ શબ્દાવલંબન છે. મોક્ષના પહેલા દરવાજામાં પેઠા છીએ. મોક્ષ થશે જ એમાં બે મત નથી. પણ નિરાલંબ મૂળ આત્મા પામવો, વિજ્ઞાન સ્વરૂપ પદ, તે હજી આગળના ધ્યેય સ્વરૂપે લક્ષમાં રાખવાનું છે. આ પાંચ આજ્ઞા પાળવાથી ધીમે ધીમે શબ્દાવલંબન છૂટતું જાય અને મૂળ ‘કેવળજ્ઞાન સ્વરૂપ’ દર્શનમાં દેખાતું જાય. એ દેખાતું દેખાતું દેખાતું પોતાના સેલ્ફમાં જ અનુભવ રહ્યા કરશે એ છેલ્લી દશા. દાદાશ્રી પોતે આ કાળમાં આવી મુક્ત દશામાં વર્તતા હતા ! [2] અજ્ઞ સહજ - પ્રજ્ઞ સહજજેટલો સહજ થાય તેટલું ઐશ્વર્ય પ્રગટ થાય. આ જાનવરો, પશુ-પક્ષીઓ બધા સહજ છે, બાળક પણ સહજ છે અને અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળા (આમાં અપવાદ હોઈ શકે) વધારે સહજ છે. કારણ કે એમના ક્રોધ-માન-માયા-લોભ ફુલ્લી ડેવલપ થયા નથી. એટલે એમની સહજતા અજ્ઞાનતાથી છે. અજ્ઞ સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે. પ્રાકૃતિક ડેવલપમેન્ટમાં અથવા અજ્ઞાનતામાં પ્રકૃતિ એકદમ સહજ લાગે, કોઈ વેર-ઝેર નહીં, ડખો નહીં, ભેગું કરવાની વૃત્તિ નહીં, જેમ છે તેમ બોલી દે, જાણે આત્મજ્ઞાની જેવો સરળ વ્યવહાર હોય તેવો જ લાગે. છતાંય તે પૂર્ણાહુતિ નથી. નિયમથી શરૂઆતમાં પ્રકૃતિ સહજમાંથી અસહજ થાય. એક- એક પુદ્ગલ પરમાણુનો અનુભવ કરે. પછી એ જ પાછો જ્ઞાની પાસે કે તીર્થંકર પાસે આત્મજ્ઞાન પામે અને પોતાની અસહજતાને ખાલી કરતા કરતા સંપૂર્ણ સહજ થાય અને પછી મોક્ષે ચાલ્યો જાય. આ પ્રાકૃત સહજ એવી વસ્તુ છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. પ્રાણીઓ અને બાળકને લિમિટેડ બુદ્ધિ, ત્યાં સહજ સ્વભાવ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ હોય, એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય. આ અજ્ઞાનતામાં સહજ છે, તેમાંથી જેમ જેમ ક્રોધ-માન-માયા-લોભ વધતા જાય, તેમ તેમ અસહજ વધારે થતો જાય. અસહજતામાં ‘ટૉપ’ પર જાય ત્યાર પછી બળતરા પૂરી જુએ-અનુભવે, ત્યારે નક્કી કરે કે આ પૈસામાં સુખ નથી, સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, માટે હવે અહીંથી ભાગો જ્યાં કંઈક મુક્ત થવાની જગ્યા છે ત્યાં. તીર્થંકરો મુક્ત થયા, એ રસ્તે હેંડો. આ સંસાર હવે ના પોસાય, પછી મોક્ષે જવાનો ભાવ થઈ જાય. [3] અસહજનો મૂળ ગુનેગાર કોણ ?મૂળ આત્મા સહજ જ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી પોતે આ જ્ઞાનમાં રહે તો પ્રકૃતિ સહજ થતી જાય. સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં, એ તો પૂરણ-ગલન સ્વભાવની છે. આ તો અજ્ઞાનતાથી અહંકાર ઊભો થયો છે અને એ અહંકાર, ‘ગમે’ એની ઉપર રાગ કરે છે ને ‘નથી ગમતું’ તો દ્વેષ કરે છે, તેથી પ્રકૃતિ અસહજ થઈ જાય છે. જ્ઞાન મળવાથી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જ રૂપે રહી, એને ‘વ્યવસ્થિત’ને તાબે છે કહેવાય. મૂળ આત્મા છે, એ નિશ્ચય આત્મા શુદ્ધ જ છે. આ સંજોગોના દબાણથી અજ્ઞાનતામાં વિભાવ જે ઊભો થયો, ‘હું ચંદુ છું’, એ વ્યવહાર આત્મા છે. એ પ્રતિષ્ઠા કરે છે કે ‘આ હું છું, હું કરું છું.’ એ ભાવથી આવતા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. આ વ્યવહાર આત્માને જ્ઞાનવિધિમાં ભાન થયું કે ‘હું ચંદુ નથી પણ હું શુદ્ધાત્મા છું, હું કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે.’ ત્યારથી જીવતો અહંકાર ગયો. હવે માત્ર મડદાલ અહંકાર રહ્યો. અજ્ઞાનતાથી પૂર્વે ચાર્જ કરેલો તે આજે ‘ચંદુ’ સ્વરૂપે ડિસ્ચાર્જ થાય છે, તે નિશ્ચેતન-ચેતન છે, તે જ આજનો પ્રતિષ્ઠિત આત્મા છે. એનો નિકાલ કરવાનો છે. વ્યવહાર આત્મામાં અંશ જાગૃતિ ઉત્પન્ન થઈ, છતાં જે હજી અજાગૃતિ છે, જે મડદાલ અહંકાર સ્વરૂપે છે, તે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં તન્મયાકાર થઈ જાય છે. પાંચ આજ્ઞાની જાગૃતિ રાખે તો વ્યવહાર આત્મા તન્મયાકાર ના થાય તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એની મેળે સહજ રીતે છૂટે, ગલન થઈ જાય. પ્રતિષ્ઠિત આત્માની ડખોડખલને પ્રજ્ઞામાં રહીને જોયા કરે તો પછી દેહેય છૂટો અને આત્માય છૂટો. શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? ચંદુ અને ચંદુની પ્રકૃતિ રહી. ચંદુની પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે ‘તું જોશથી કર કે તું ના કરીશ’ એમ નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું તો પ્રકૃતિ ખાલી થાય. અગર તો ‘આપણાથી આ ના થાય’ એમ બ્રેક મારી કે ખેંચ કરી તોય બધું અસહજ થઈ ગયું. ત્યાં ખેંચ ના કરે તો સહજ થાય. એટલે પ્રકૃતિની ક્રિયા ડિસ્ચાર્જ છે જે સહજ ઉકલી રહી છે. એમાં પોતે ‘રાગ-દ્વેષથી કરવા જેવું છે, નથી કરવા જેવું, સારું છે, ખરાબ છે’, એમ ડખલ કરે છે. તેનાથી પ્રકૃતિ અસહજ થાય છે. ‘જોનાર’ રહો તો પ્રકૃતિનું સારું-ખરાબ હોતું નથી, ‘જોનાર’ થયો એટલે જ્ઞાની થયો. પ્રકૃતિના ઉદય સ્વરૂપમાં ચંદુભાઈ તન્મયાકાર રહે, તેને આપણે જાણવાનું છે. એનાથી પ્રકૃતિની પોતાની ખોટો જાતે જ પૂરી થઈ જવાની. હજુ કોઈ વખત અજાગૃતિથી ડખલ થાય, તેને પ્રજ્ઞામાં બેસીને જાણવાની કે આ અસહજ થયું, તો ધીમે ધીમે અંતે સહજ થતું જશે. પ્રકૃતિ સહજ થાય એટલે બહારનો ભાગ પણ લોકોને ભગવાન જેવો દેખાય. સહજ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, કોઈ પણ બહારની ચીજની અસર નહીં, પોતાપણું ના હોય, એવા ગુણો ઉત્પન્ન થઈ જાય. [4] આજ્ઞાનો પુરુષાર્થ, બનાવે સહજજ્ઞાન મળ્યા પછી નિરંતર લક્ષ રહે એ સહજ આત્મા થયો કહેવાય. હવે મન-વચન-કાયા સહજ કરવા માટે આજ્ઞા જેમ જેમ પળાતી જાય, તેમ તેમ મન-વચન-કાયા સહજ થતા જાય. આ પાંચ આજ્ઞા છે તે સહજ બનાવનારી છે. કારણ કે આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટી ને ત્યારથી પ્રકૃતિ સહજ થવા માંડે. આ ચંદુભાઈ જુદા અને તમે શુદ્ધાત્મા જુદા છો એ જાગૃતિ રહેવી જોઈએ. પોતે શુદ્ધાત્મામાં રહે અને સામાને પણ શુદ્ધ જુએ તે શુદ્ધ ઉપયોગ રાખ્યો કહેવાય. ઘરના માણસોને ‘શુદ્ધાત્મા’ તરીકે જુઓ તો તેની અસર થાય ને દ્રષ્ટિમાં હોય કે આ આવો છે, તેવો છે તો તેવી અસર થાય. સ્ટેશને ખબર પડી કે ગાડી લેટ છે, પછી ખબર પડે કે હજી અડધો કલાક લેટ છે, તો પ્રકૃતિ અજ્ઞાનતાના આધારે કૂદાકૂદ કરી મૂકે. જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. ગાડી લેટ છે, તો એ વ્યવસ્થિત છે. આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટી, એટલે પ્રકૃતિ સહજ થાય. એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય. પછી ફાઈલ બે અથવા બીજી ફાઈલોની સાથે ઝઘડા થયા કે ભાંજગડ થઈ હોય તો એનો સમભાવે નિકાલ કરીએ છીએ પણ ફાઈલ નંબર ૧નો સમભાવે નિકાલ પાર વગરનો બાકી રહ્યો છે. અહંકારથી એને અસહજ કરી નાખી છે. સભામાં બેઠો હોય તો પેશાબ કરવા જવું હોય તો બે કલાક જાય નહીં, હોટલમાં ખાવા બેઠો હોય, સ્વાદિષ્ટ ખોરાક હોય તો ખાવાનું વધારે પડતું ઠોક ઠોક કરે, ઊંઘવાનો ટાઈ થયો હોય તો સારું પુસ્તક હોય તો વાંચ વાંચ કર્યાં કરે, નાટક જોવા જાય તો દેહને ઊંઘ આવતી હોય તોય પરાણે જાગીને જુએ, ઊંઘને ઑબ્સ્ટ્રક્ટ કરે (આંતરે છે), દેહ અનિયમિત કરી નાખ્યો એટલે અસહજ થાય. તે આ ફાઈલ નં. ૧ને સમભાવે નિકાલ કરીને પાછી સહજ કરવાની છે. આજ્ઞા પાળવાનું ફલાય વ્હીલ ૧૮૧૦ સુધી ફર્યું એટલે પછી એની મેળે પોતાના જોરથી ફરશે. ત્યાં સુધી પોતે જોર મારવાનું છે. પછી બોજા હલકા થતા જાય, સહજ થતું જાય. આ પાંચ આજ્ઞા આખા વર્લ્ડના બધા શાસ્ત્રોનો અર્ક જ છે. પાંચ આજ્ઞા પાળવી એનું નામ પુરુષાર્થ. ખરો પુરુષાર્થ શું ? તો કહે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. પહેલું આજ્ઞા રૂપી પુરુષાર્થ, પછી એમાંથી સ્વભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય. એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે, એટલે સહજ સમાધિ નિરંતર રહે. [5] ત્રિકરણ આમ થાય સહજસાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયા જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી. મનના ધર્મમાં કે બીજા કોઈનામાં ડખો ના કરે. મન-વચન-કાયા એ ચાલ્યા કરે એનું નિરીક્ષણ કર્યા કરવું. સાહજિક મન, વાણી ને કાયાવાળાનું દરેક કાર્ય સરળ થાય. શરીર, મન, વાણીની જેટલી નિરોગીતા એટલી આત્માની સહજતા. મન-વચન-કાયા તો એની મેળે ડિસ્ચાર્જ થયા કરે. એમાં મહીં પોતે ભળે તો રોગ ઉત્પન્ન થાય. છોને ભરેલો માલ આડોઅવળો, ઊંધોચતો નીકળે, તેમાં તન્મયાકાર નથી થવાનું તેને માત્ર જોયા કરવાનો છે. એટલે એ ખાલી થઈ જાય. જગત એની મેળે સહજ ચાલ્યા કરે છે. બુદ્ધિ-અહંકાર પ્રિકોશન લેવા જાય છે, તે એક જાતની ચાંચલ્યતા છે. નહીં તો એની મેળે બધું થઈ જ જાય છે. માત્ર એને જોયા કરવાનું જ છે કે શું થાય છે ! વિચારવું એ મનનો ધર્મ છે. આપણે વિચારોથી છેટા રહીને જોવાની જરૂર છે. વિચારોને જોનારો આત્મા છે. આત્મા જાતે જોતો નથી પણ ખરેખર તો આપણી જે પ્રજ્ઞાશક્તિ છે તે જુએ છે. નિરાલંબ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફુલ (પૂરેપૂરી) કામ કરે નહીં. જેમ જેમ વિચારોને જ્ઞેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે. વિચારોને જ્ઞેય તરીકે જુઓ એ શુદ્ધાત્માનું વિટામિન છે. આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહી. જ્ઞાતા-દ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. આ જ્ઞાન મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોના મન વશ વર્તે. મન વશ વર્તે એટલે શું કે આપણે જે કહીએ તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય. વાણી એ ટેપરેકર્ડ છે, એ સાહજિક વસ્તુ છે. સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે એને જ્ઞાતા થવા દો. જેમ છે એમ થવા દો તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે. આત્મા આત્માની ફરજ બજાવે, ચંદુભાઈ ચંદુભાઈની ફરજ બજાવે, બન્નેનો જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહેવો જોઈએ. પાંચ ઈન્દ્રિયોના ધર્મને જાણ્યા કરવું. અને ત્યારે જ મનની, વાણીની અને શરીરની સહજતા આવે. એવી સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. દેહ સહજ થયો તેનું માપદંડ શું ? તો કહે, ‘દેહને કોઈ કંઈ પણ કરે તો આપણને રાગ-દ્વેષ ના થાય. સહજ એટલે સ્વભાવિક. એમાં વિભાવિક દશા નહીં, પોતે હું છું એવું ભાન નહીં. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. ઉદય આવે એટલું જ કરે. પોતાપણું ના રાખે. અને લોકોનું તો હજુ પોતાપણું કેવું છે કે પ્રકૃતિનું રક્ષણ તો કરે પણ ઊલટું એટેક હઉ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ જ પોતાપણું. એ રક્ષણ કરે તેથી સહજ નથી થતું. એટલે હવે મૂળ વસ્તુ પામ્યા પછી અહંકારનો રસ ખેંચી લેવાનો છે. બધાને અપમાન ના ગમે પણ એ તો બહુ હેલ્પિંગ છે. એટલે સહજ જો થવું હોય તો ડિસ્ચાર્જ ક્રોધ-માન-માયા-લોભ, અહંકારનું રક્ષણ કરવું નહીં. ભરેલો માલ તો ગમતો પણ નીકળે, ના ગમતો પણ નીકળે, તેને આપણે ‘જોઈએ’ તો સહજ છીએ. પ્રકૃતિ સહજ થશે, બન્ને સહજ થશે ત્યારે ઉકેલ આવશે. [6] અંતઃકરણમાં ડખલ કોની ?બુદ્ધિ સંસારમાં ચંચળ બનાવે, શંકા કરાવે. જ્યારે જ્ઞાનથી ‘વ્યવસ્થિત’ છે એવી અથવા એ જાગૃતિ રહે તો સહજ રહેવાય. જ્ઞાનથી બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે. આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર જ અંતઃકરણ રૂપે છે, એનો વ્યવહારમાં વાંધો નથી પણ વધારાની એકસ્ટ્રા બુદ્ધિ છે તેનો ડખો છે. પોતાપણાનો સૂક્ષ્મતર અહંકાર છે, તેની જોડે જે બુદ્ધિ છે તે એકસ્ટ્રા બુદ્ધિ છે, વિશેષ બુદ્ધિ છે. પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી, તો એ ઓછી થતી જાય. લોકો તો બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢે છે અને આ સંસાર જ બુદ્ધિનો ડખો છે. બુદ્ધિ ના ઊભી હોત તો આવો સંસાર રહેત જ નહીં. આ અક્રમ જ્ઞાનથી તો નર્યો આનંદ વર્તે તેમ છે, પણ બુદ્ધિ ગયા પછી. પણ બુદ્ધિ છે તો એ ડખલ કરે છે. બુદ્ધિ સંસારમાં રૂપાળું કરી આપે, મોક્ષે ના જવા દે. આ જ્ઞાન પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, જે ઠેઠ મોક્ષે લઈ જાય. પ્રજ્ઞા કહે છે, જે હાર્ટિલી માણસ હોય તેને હું હેલ્પ કરીશ, મોક્ષે લઈ જઈશ. અંતઃકરણની બુદ્ધિ સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે, એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે ને સંસારના કામ થઈ જાય છે, પણ આ વિપરીત બુદ્ધિ વાપરે તો સર્વ દુઃખો ઈન્વાઈટ (આમંત્રિત) કરે. સમ્યક્ બુદ્ધિ થઈ તો સર્વ દુઃખો કપાય. મનુષ્યે બુદ્ધિનો દુરુપયોગ કર્યો, તેથી નિરાશ્રિતપણું ભોગવે છે. જ્યારે મનુષ્ય સિવાયના કરોડો જીવો છે પણ તેઓ આશ્રિત છે, સહજ આનંદમાં છે. આત્મજ્ઞાનીના દર્શન કર્યા હોય ને ત્યાં શ્રદ્ધા બેસી હોય તો સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય અને પછી સહજભાવે મોક્ષમાર્ગ મળી આવે જ. માણસ ક્રિયા કરે તે ક્રિયાની હરકત નથી, એમાં બુદ્ધિ વપરાય કે તરત કૉઝિઝ ઉત્પન્ન થાય. બુદ્ધિ વગરની ક્રિયા સહજ કહેવાય. સામો માણસ ગાળ દે ત્યારે બુદ્ધિ વપરાય, ‘મને કેમ દીધી’ એટલે ક્રોધ ઉત્પન્ન થાય, દ્વેષ કરે એ કૉઝિઝ છે. તમે ખાવ એ કૉઝ નથી, ‘મજા ના આવી’, એ ખરાબ બોલ્યા તે કૉઝ છે અગર ખુશ થાય તો તે કૉઝ છે. આ જ્ઞાન પછી બુદ્ધિ ડખોડખલ કરે છે, એવી ખબર પડી જાય, તો આપણે તેના પક્ષમાં ના રહેવું. દ્રષ્ટિ ફેરવી લેવી, એના ડખોડખલના વિરોધમાં રહેવું. તો એ ધીમેધીમે બંધ થઈ જશે. આ તો એને માન આપે, એક્સેપ્ટ (સ્વીકાર) કરે, એની સલાહ માને, ત્યાં સુધી બુદ્ધિ ડખોડખલ કર્યા જ કરે. બુદ્ધિ ઈમોશનલ કરાવે. ઈમોશનલ થાય એટલે જાગૃતિ રહે નહીં. જે ઈમોશનલ બિલકુલ ના હોય તો ત્યાં જ્ઞાતા-દ્રષ્ટાપણું સંપૂર્ણ, એ જ સાહજિકતા. એના કામ હંડ્રેડ પરસેન્ટ થાય. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. સુધારવા જાય, કરવા જાય તો બગડે અને જોયા કરે તો સુધરે. એક અવતારનો બધો હિસાબ લઈને આવેલા છે. લોટ તૈયાર લઈ આવેલો છે, ફરી લોટને દળવાની જરૂર નથી. ‘હું કરું છું’ એ ગાંડપણથી બગડે છે, નહીં તો આ શરીરમાં અંદર તો બહુ જબરજસ્ત સાયન્સ (વૈજ્ઞાનિક રીતે) ચાલ્યા કરે છે. ડખો કરવાની જરૂર જ નહીં. બુદ્ધિ તો ભેદ પાડે, આ સારું અને આ ખોટું, એ ઈમોશનલ કરાવે. એ કામનું જ નહીં. જાગૃતિના ભેદ પાડેલા કામ લાગશે કે આ હું ને આ ન્હોય હું. આ હિતકારી ને આ હિતકારી ન્હોય, એમ સૂઝ પડ્યા જ કરે. એ કામ લાગે. બુદ્ધિ અજંપો કરાવે. પ્રજ્ઞામાં અજંપો ના હોય. સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. સૂર્યનું અજવાળું થાય પછી મીણબત્તીની જરૂર નહીંને, એવું આત્માના જ્ઞાનપ્રકાશ પછી બુદ્ધિપ્રકાશની જરૂર નહીં. મહાત્માઓ ભરેલા માલના પરિણામે વખતે ગૂંચાઈ જાય છે, ત્યાં જ્ઞાનીની જાગૃતિથી વાળે કે આ તો પારકા પરિણામ છે, ડિસ્ચાર્જ છે. એને સાથ ના આપે, એને જોયા જ કરે, તો પોતે મુક્તતા ભોગવે. આવી જાગૃતિથી ચિત્તની શુદ્ધિ થયા જ કરે અને ચિત્તની શુદ્ધિ સંપૂર્ણ થતાં સુધી આ યોગ આ જમાવવાનો છે. સહજ અહંકારથી, ડિસ્ચાર્જ અહંકારથી આ સંસાર સહજ ચાલે એવો છે. પણ આ જીવતો અહંકાર લઢે, ઝઘડે ને કર્મ ચાર્જ કરે. એથી આ ગૂંચવાડો છે. આ મનુષ્યો અહંકારનો ઉપયોગ કરી અધોગતિ બાંધે છે. અહંકાર એ તો ઘોર અજ્ઞાનતા છે. આ જ્ઞાન લીધા પછી જેનાથી સંસાર ઊભો થતો હતો એ અહંકાર ઊડી ગયો પણ આ ડિસ્ચાર્જ અહંકાર ખાલી કરવાનો છે. આ ક્રોધ-માન-માયા-લોભ જે ભરેલા છે, તે ડિસ્ચાર્જ અહંકારથી ખાલી થાય છે. સ્થૂળ દેહમાં વણાયેલો અને સૂક્ષ્મ અંતઃકરણનો અહંકાર, એ ભમરડા જેવો છે, ડિસ્ચાર્જ છે, એ નડતો નથી. જે સૂક્ષ્મતર, પોતાપણાનો અહંકાર છે તે ડખલ કરનારો છે. એ જાય એટલે સહજ થાય. અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી ને આવતો ભવ બાંધે છે. આ અજ્ઞાન દશામાં દરેક ક્રિયા કરે છે, એમાં ‘હું કરું છું’ એ ભાન સજીવ અહંકાર છે. જ્ઞાન દશામાં પોતે ફક્ત નક્કી કરવાનું છે, પછી વ્યવસ્થિત કાર્ય પૂરા કરાવશે. પણ પોતે ‘હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે’ કહે તો બગાડે બધું. દરેક જીવંત વસ્તુમાં આત્મા સહજ સ્વભાવનો હોય છે અને પ્રકૃતિ પણ સહજ સ્વભાવમાં હોય છે. આ મનુષ્યમાં બુદ્ધિ-અહંકારે ડખલ કરીને પ્રકૃતિને વિકૃત કરી નાખી છે. વિકૃત પ્રકૃતિ એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે. પછી આત્માય (વ્યવહાર આત્મા) વિકૃત થઈ જાય. જ્યારે ઊંઘ આવે ત્યારે ચોટલી બાંધીને જાગે, આમ અસહજ થાય છે. મનુષ્ય એકલાએ સહજ થવાની જરૂર છે. આ ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર એ સંજોગોના દબાણથી, અજ્ઞાનથી, અંધારાથી ઊભા થઈ ગયેલા છે. જે જ્ઞાન થતાંની સાથે અજવાળાથી એમ ને એમ સહજાસહજ બંધ થઈ જાય એવા છે. બાકી ગમે તેટલા કષ્ટ સેવે તોયે આ વંશાવળી જાય એમ નથી. પોતે વિકલ્પી જાતે નિર્વિકલ્પી કેવી રીતે થઈ શકે ? મુક્ત પુરુષના શરણે જાય તો સહજ રીતે કામ થાય એવું છે. સંસારની ક્રિયા થઈ રહી છે એનો કોઈ વાંધો જ નથી. એમાં જે ચંચળતા ઉત્પન્ન થાય છે, જે સાહજિકતા તૂટે છે, એનાથી કર્મ બંધાય છે. આ જ્ઞાન પછી ક્રિયા બહાર એની મેળે થાય. પોતાની સહેજ ડખલ નથી હોતી. એનાથી સહજતા રહે. આ ચંચળતા ઊડી ગઈ, એનું નામ સાહજિકતા. નવા કર્મો બાહ્ય પ્રકૃતિથી થાય છે ? ના. એ તો અજ્ઞાનદશામાં પોતાનો જીવતો અહંકાર અને આજની સમજણ ને જ્ઞાન ઉપર આધાર રાખે છે. તેનાથી કર્મ અવળા કે સવળા બંધાય અને પછી પ્રકૃતિ આપણને તેના ફળ સ્વરૂપે એવા સંજોગોમાં રાખે. બંધાયેલા કર્મ છોડવા માટે કોઈકની જરૂર તો ખરી ને ? તે આ પ્રકૃતિની બાહ્યક્રિયા એ તો થવાની, એ કર્મ છૂટવા માટેની ક્રિયા છે. એને માટે ડિસ્ચાર્જ અહંકાર જોઈએ, પણ તે કર્મ બાંધી શકે નહીં. પોતે પોતાના આત્માના ભાનમાં આવી ગયો, કર્તાપણું છૂટી ગયું પછી ઉદય સ્વરૂપ રહે, એ એની મેળે ચાલ્યા કરે. એટલે દેહાધ્યાસ જતો રહે એટલે દેહ દેહના કામમાં, આત્મા એના કામમાં, એ જ સહજ દશા. જ્ઞાન પછી જીવતો અહંકાર જાય છે, પછી ડિસ્ચાર્જ અહંકારેય પૂરો થાય. ત્યાર પછી દેહ ક્રિયા કરે, એ તદ્દન સહજ ક્રિયા કહેવાય. તે ઘડીએ આત્માય સહજ, બન્ને સહજ. પુદ્ગલને જો ડખોડખલ ના થાય તો ચોખ્ખું થયા જ કરે. આ એન્જીનમાં કોલસા બધું ભરીને રાખ્યું હોય ને ડ્રાયવર ના હોય તો એ ચાલ્યા જ કરે એવો એનો સ્વભાવ. પણ મહીં ડખલ કરનારો બેઠો હોય તો ઊભી રાખે, ચાલુ કરે. ડખોડખલ કરનારા કોણ ? અજ્ઞાન માન્યતા ને વાંધા-વચકા. [7] જ્ઞાની પ્રકાશે અનોખા પ્રયોગોભણેલા-બુદ્ધિશાળીઓ ભેગા થયા હોય તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ કેટલા બોલે ? એકુય ના બોલે. કારણ કે બુદ્ધિ એવી વધી કે શુકલ અંતઃકરણ ઊડી ગયું. આ શાથી તાળીઓ પાડીને ગાવાનું ? અસહજતા કાઢવા માટે. દાદા ભગવાન આવાં અનોખા પ્રયોગો અસહજતાની ખોટ પૂરવા માટે કરાવતા. આ જ્ઞાન તો મળી ગયું પણ હવે પૂર્ણ સહજતા હોવી જોઈએ ને ? મંદિરમાંથી દર્શન કરીને આવીએ તો નવા બૂટ ઊપડી ગયા હોય, અગર તો રસ્તામાં કપડા કાઢી લે તોય આપણને સંકોચ રહે તે જ અસહજતા. માટે અંદરથી તૈયારી, ગોઠવણી કરીને સંકોચ પહેલેથી દૂર કરો ને સહજતા લાવો. આ જગતનો કોઈપણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ. ગમે તેવી સ્થિતિમાં સહજ થશે તો મોક્ષ થશે. અસહજતાથી આ એટિકેટના ભૂતાં છે. પૂર્ણ સહજને જે ભજે તો તેય સહજ થશે. તાળીઓ પાડવાથી મોક્ષે જવાય કે ના પાડવાથી મોક્ષે જવાય, એવો નિયમ નથી. મોક્ષે જવા માટે તો માણસ કેટલો સહજ રહે છે એ નિયમ છે. સૂનમૂન બેસી રહેવું, તાળીઓ ના પાડવી, એટિકેટમાં રહેવું, એવી બધી ચીઢ પેસી ગયેલી હોય છે. એ ચીઢ કાઢવા માટે દાદાજી ગરબા કરાવે, ભક્તિ કરાવે, માતાજીના દર્શન, મહાદેવજીના દર્શન, મંદિરોમાં દર્શન કરાવે, મસ્જિદોમાં દર્શન કરાવે, એનાથી અસહજતા ખાલી થતી જાય. આપણું વિજ્ઞાન શું કહે છે, જે તે રસ્તે સહજ થાવ. સહજ એટલે શું કે લોકોથી ડરવું નહીં. કો’ક જોઈ જશે તો ? ગાયો-ભેંસોથી ભડકતા નથી, તો લોકોથી કેમ ભડકો છો ? આત્મા તો બધામાં સરખો છે. પણ મનુષ્યોથી શરમ આવે. આ અસહજતાનો રોગ કાઢવા દાદા કોઈ વખત કોઈને ‘ગળામાં હાર પહેરીને ઘેર જાવ કહેતા, જાત્રામાં મોટા સ્ટોપ હોય ત્યાં સ્ટેશને ઉતરીને ગરબા ફરવાનું કરાવે. તે મુક્ત મને બધા કરે. તે કોઈથી દબાયેલા નહીં, શરમેય નહીં. આમ સહજ દશામાં આવે. બધા કરે એવું પોતેય કરે. પોતાનું જુદું નહીં. પોતાપણું જ ના રાખવું જોઈએ, તો સહજતા ઊભી થાય. બધા ગાતા હોય તે ઘડીએ પોતે ગાવા લાગે. એટલે મારાથી આવું ના થાય એવી બધી આંટીઓ નીકળી જાય ને સહજ થવાય. સત્સંગમાં બધા જેવું કરે એવું કરવાથી જુદાઈ ના પડે. જુદો ફોટો ના પડવો જોઈએ. બધામાં મળતા થઈ જાય. પોતાની ડિઝાઈનમાં ઉતરે નહીં. પોતાનું કંઈ જુદું નહીં એ સહજ. પોતાનું ડ્રોઇંગ જુદું ચીતરે તો એ સહજતા ચૂક્યા કહેવાય. આ જ્ઞાન પહેલા જે કંઈ રાગ-દ્વેષ કર્યા હોય, આપણને ના ગમતું હોય, કંટાળો આવે, આ ખોટું છે, આવું ના કરાય, આવા બધા રોગ ભરેલા હોય, તે બધા તૂટી જવા જોઈએ. અહીં સત્સંગમાં જે જે થાય, એ ઉદયમાં ચંદુ ભળે અને પોતે એને જોયા કરે, તો અસહજતાનો રોગ ખલાસ થતો જાય ને સહજ થઈને ઊભું રહે. એટિકેટના રોગ ગયા સિવાય ધર્મેય પરિણામ ના પામે ને ! લોકોનું જોઈને એટિકેટની નકલો કરી છે ને આ રોગ પેસી ગયો છે. તે રોગ કાઢવા દાદાશ્રીએ કળા કરી છે, જે ભણેલા-ગણેલાને સહજ બનાવી નાખે. તાળીઓ ના પાડવી એક જાતનો અહંકાર છે અને આ ભક્તિ-ગરબા, તાળી પાડીને અસીમ જય જયકાર કરે તો અહંકારને નાશ કરી દે. કારણ કે આ પોતે કર્તા નથી, ચંદુભાઈ કરે છે ને. એટલે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલીફને છોડાવનારી છે. આપણે તો ‘ચંદુ શું કરે છે, ચંદુએ કેવા થબાકા માર્યા, કેવા ગરબા ફર્યા’ એ જોવાનું છે. આ તો ચીઢ-તિરસ્કાર કરેલા પહેલા, તે આ પ્લસ-માઈનસ થઈને ખલાસ થઈ જાય. આખી પ્રકૃતિનો જો ભાગ હોય તો માતાજી છે, જે આદ્યશક્તિ સ્વરૂપ છે. એટલે માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થાય. અહીં ‘ચંદુ’ પાસે માતાજીની ભક્તિ કરાવવાથી પ્રકૃતિ સહજ થાય. દાદાશ્રી કહેતા કે અમે અંબેમાના એકના એક લાલ છીએ, અમારી ચીઠ્ઠી લઈને માતાજીના દર્શન કરવા જજો, તો માતાજી સ્વીકારશે. માતાજીના આશીર્વાદથી સંસારના વિઘ્નો દૂર થાય, પણ મોક્ષ તો આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય. [8] અંતે પામવી અપ્રયત્નદશાસંસારયે નડતો નથી, સંસારની જવાબદારીઓય નડતી નથી, ખાધા પછી મહીં સહજ ચાલે છે એનાં કરતાં બહાર વધારે સહજ ચાલે એવું છે. આપણે શું બને છે જોયા કરીએ તો. કારણ કે બહારની ક્રિયા વ્યવસ્થિતને તાબે છે, આપણા તાબામાં નથી. વ્યવસ્થિત એટલે શું કે સહજભાવે રહો અને જે બને એ થવા દો. તો આપણે અપ્રયત્નદશામાં રહેવાય અને જ્ઞાન પરિણામ પામે. અંતે આ દશા પામવાની છે. જમ્યા પછી તપાસ કરવા જવું પડે છે કે મહીં પાચક રસ પડ્યા, પાચન કોણે કરાવ્યું, એની મેળે જ બધી ક્રિયા થઈને બધું જુદું પડી જાય છે ને ? કોણ કરવા ગયું હતું મહીં ? રાતે ઊંઘમાં શરીર સહજ હોય છે, અંદરનું એમ ને એમ ચાલે છે. તો બહારનું નહીં ચાલે ? ‘હું કરું છું, મારે કરવું પડશે’ એ માનીને ડખા કર્યા કરે છે. બાકી ખાવા-પીવાનું, ધંધો, વ્યવહાર બધું સહજભાવે ચાલે એવું છે. સહજભાવમાં બુદ્ધિ ના વપરાય. સહજ એટલે અપ્રયત્ન દશા, પોતાનો કોઈ જાતનો પ્રયત્ન નહીં. હા, ચંદુનો પ્રયત્ન થાય, તેય વ્યવસ્થિતને આધીન થયા કરે, પણ પોતે ‘મેં આમ કર્યું’ એ ભાન હોય નહીં. આ જગતમાં ના કરવા જેવુંય નથી ને કરવા જેવુંય નથી. શું બને છે એ જોયા-જાણ્યા કરવા જેવું છે. આપણી દ્રષ્ટિ કેવી રાખવી ? સહજ. શું બને છે એ જોવું. વ્યવસ્થિત સંપૂર્ણ સમજાય કે કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય, સંપૂર્ણ સહજ થતો જાય. આ જ્ઞાન મળ્યે નિર્વિકલ્પ થયા પણ સહજ થયા નથી. જેટલું સહજ થાય તેમ વીતરાગતા આવતી જાય. દાદાશ્રી કહે છે, અમારે આજે આમ કરવું છે, એવું કશું ના હોય. શું ભેગું થાય છે ને શું નહીં થતું એટલું જોઈએ. એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો, નહીં તો કંઈ નહીં. એટલે કોઈ કામ ના થાય તો હિસાબ કાઢીએ કે આમાં કયો સંજોગ ખૂટે છે ? આમ ટાઈમ ને બધું સંજોગ જોતા જોતા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધું જડેલું કે જગત શી રીતે ચાલે છે ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભેગા થાય કે કાર્ય થઈ જાય. એમાં પોતાનું કર્તાપણું ક્યાં છે ? છેવટે સહજ થવું પડશે. સહજ થયા વગર નહીં ચાલે. અપ્રયત્ન દશાથી ચા-ખોરાક જે આવે તેનો વાંધો નથી. સહજતામાં દૂધપાક પૂરી મળે તો તે ખાય અને રોટલો-શાક મળે તો તેય ખાય. એકનો આદર નહીં, એકનો અનાદર નહીં એ સહજ. બહારના પ્રાપ્ત સંયોગો ને અંદરના મન, બુદ્ધિના બધા સંયોગોથી પર થાય, અંદર જે બૂમાબૂમ કરે, એ બધાને છેટા રહીને પોતે જુએ ત્યારે સહજ દશા પ્રાપ્ત થાય. બે વાગે જમવાનું મળે તો બોલાય નહીં, શું બને છે જોયા કરે. ખાવામાં આ નડશે, તે નડશે, એ વિકૃત બુદ્ધિવાળાને નડે, સહજને કશું નડે નહીં. આવી પડેલું દુઃખ ભોગવ, આવી પડેલું સુખ ભોગવ, આવી પડેલું ખા, આપણે ડખલ કરવી નહીં એનું નામ સહજ. એ સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે. અજ્ઞાન હોય તો અસહજ થાય અને જ્ઞાન હોય તો સહજ થયા કરે. આ તો અક્રમ વિજ્ઞાન છે, ક્રમ નહીં, કરવાનું કશું નહીં. કરે ત્યાં સંસાર, સહજ ત્યાં આત્મા. હું ચલાવું છું, મારે કંઈ કરવું પડશે, હું કરું છું એ ભાવો નહીં, કર્તાપણાની લગામ જ છોડી દેવાની. એવા એક દહાડો ભાવ કરવાના કે દાદા, તમને લગામ સોંપી, હવે હું તો જ્ઞાતા-દ્રષ્ટા. મારે કંઈ ચલાવવું નથી. પછી જુઓ ચાલે છે કે આપણે ચલાવવું પડે છે ? આ તો ‘હું કરું’ એમ લગામ પકડે છે તેથી જ બગડે છે. પાંચ ઈન્દ્રિયના ઘોડાની લગામ છોડી દે તો સહજ ચાલ્યા કરશે. વ્યવસ્થિત સમજાશે કે રોજના કરતા સારું ચાલ્યું. બધું ખાવા-પીવા, વેપાર બધું સારું ચાલ્યું. વખતે લગામ ફરીથી પકડાઈ જાય, ડખો થઈ જાય તો માફી માંગી લેવી. પછી પ્રેક્ટિસ પડતા કરેક્ટનેસ આવી જાય. એથી આગળનો સ્ટેજ, ચંદુભાઈ શું બોલે છે, એને જો જો કરવાનું કે આ કરેક્ટ છે કે નહીં ! આ સહજ થયું એ તો છેલ્લી દશાની વાત છે ! સહજ દશા પહોંચવા માટે વધારે આગળનો પુરુષાર્થ દાદાશ્રી બતાવે છે જેને ઉતાવળ હોય તેણે અપરિગ્રહી થવું જોઈએ. તું વ્યવહારને વળગ્યો છે કે વ્યવહાર તને વળગ્યો છે ? એ તો વ્યવહારનો ઝટપટ નિકાલ કરી નાખે. અને વ્યવહાર કેટલો રહે ? આવશ્યક. હવા, પાણી, ખોરાક, પણ વધારાની જંજાળ જે અન્આવશ્યક કહેવાય. તે ઉપાધિ કરાવે ને અસહજ બનાવે અને આવશ્યકેય બધું વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની મેળે, આમ છેલ્લી દશાનું ચિત્રપટ લક્ષમાં હોય ને એની પેરવીમાં રહેવાનું છે. આવશ્યક, અને અનાવશ્યક, બેનું લિસ્ટ બનાવી, અનાવશ્યક ચીજો વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવાનું છે. પણ આ જ્ઞાન જાણી રાખવાનું છે, કરવા મંડી પડવાનું નથી. આપણને અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે આ વસ્તુઓ દુઃખદાયી લાગ્યા કરે. અનાવશ્યક ચીજવસ્તુઓ પ્રત્યે પોતાના ભાવ, પોતાના કરાર ઉપાડી લેવાના છે. પછી ચીજવસ્તુને વ્યવસ્થિત એના ટાઈમે ખેરવી નાખશે. આ જ્ઞાન પછી પરિગ્રહ માત્ર ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ ભલે રહ્યું, પણ ડિસ્ચાર્જમાં પોતાનો મોહ છોડી દેવાનો છે, મમતા ઓગાળી નાખવાની છે. રાજા ભરત ચક્રવતી જેવું, પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી. અપરિગ્રહવાળો જ હું, બીજું બધું ન્હોય મારું, આ સ્થિતિ દાદાશ્રીને વર્તે છે. ત્યાં સુધી આ ભવમાં પહોંચવાનું છે. છેવટે આ દેહને સહજ કરવાનો છે. [9] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનુંસહજતા એટલે અપ્રયાસ દશા. પ્રયાસ કરનારો ખલાસ થયો પછી આત્મા (પ્રજ્ઞા) જાણ્યા કરે છે અને મન-વચન-કાયા કર્યા કરે છે. પહેલા ‘હું કર્તા છું’ એ ભાનથી અસહજતા હતી. ‘હું કર્તા નથી’ એ ભાનથી અપ્રયત્ન દશા શરૂ થઈ અને એ પ્રયાસ કરનારો, ડખલ કરનારો જ ખલાસ થઈ જાય છે, પછી કેવળ જાણપણું જ રહે છે. મન-વચન-કાયા કામ કરનારા છે, પણ પ્રયાસ કરનારાની ગેરહાજરી એ સહજ દશા. ક્રિયાનો વાંધો નથી, પ્રયાસ કરનારાનો વાંધો છે, ત્યાં સુધી એ અસહજ દશા. મન-વચન-કાયા અને અંતઃકરણ વ્યવસ્થિતને આધીન ડિસ્ચાર્જ થયા કરવાના. એના કાર્યમાં કોઈ ચેન્જ થવાનો નથી, જો પ્રયાસ કરનારો ના હોય તો. પ્રયાસમાં ડખલ છે. પોતે કંઈ કરી શકતો નથી. થઈ રહ્યું છે એમાં રોંગ બિલિફથી ‘હું કરું છું’ માને છે, ડખો કરે છે અને પ્રયાસ કરવાની રોંગ બિલીફ છૂટી જાય, જ્ઞાન હાજર રહે તો પછી અપ્રયાસ દશા. સહજ થઈ ગયો એ દાદાશ્રીની સ્થિતિએ પહોંચી ગયો. સહજ દશામાં જે અંતરાયો આવે છે એને રોકવાના નથી, એને જોવાના છે. ખસેડવામાં તો ખસેડનારો જોઈએ ને સંજોગોને ખસેડવા એ ગુનો છે. કારણ કે એ પોતે જ કાળ પાકશે એટલે વિયોગ પામશે. સંજોગો વિયોગી સ્વભાવના છે. માટે સંજોગોને જોવાનો પુરુષાર્થ કરવાનો છે. સ્વભાવિક દશામાં આવવા માટે પોતે શું કરવું ? દાદાશ્રી કહે છે કે વિભાવિક પુરુષાર્થ કરે તો ના થાય. ગાંડો માણસ જાતે પુરુષાર્થ કરીને ડાહ્યો ના થાય. એ તો ડાહ્યાને શરણે જઈ કહેવું કે કૃપા કરો, તો ફેરફાર થાય. પોતાની ડખલને લઈને તો નવા સંજોગો ઊભા થાય છે. જો પોતાની ડખલ મટી, સહજમાં રહ્યો તો સંજોગો પાછલા છે તે છૂટતા જાય. મહાત્માઓને પાંચ આજ્ઞાનો પુરુષાર્થ જ સહજ બનાવે. સહજતા પોતાની છે અને સંજોગો પર છે ને પરાધીન છે. મહાત્માઓને અત્યારે જોવાનો પુરુષાર્થ કરવો પડે છે. એ જોવાના કાર્યમાં પડ્યા કહેવાય. એ જોવાનું કાર્ય સહજ હોવું જોઈએ. અત્યારે જોનાર બને છે, એને પણ જાણનારો ઉપર છે. છેલ્લે ઉપરીને જોવું પડે નહીં, સહજ દેખાયા જ કરે. વચલો ઉપયોગ પ્રજ્ઞાશક્તિનો છે, એને પણ જુએ છે એ મૂળ સ્વરૂપ. જેમ અરીસામાં દેખાય, તે અરીસાને જોવા જવું ના પડે, સહજ સ્વભાવે ઝળકે. મહાત્માઓને મોક્ષે જવાની ઈચ્છા થઈ એટલે આ સંસારભાવ તૂટ્યો, એની મેળે જ. અમદાવાદ તરફ ચાલવા માંડ્યા એટલે મુંબઈ એની મેળે જ છૂટી જાય. ભાવ ત્યાગ વર્ત્યો એના પરિણામે ભરેલો માલ ખરી પડે જ ! આજ અક્રમ વિજ્ઞાન છે ! ભરેલો માલ એની મેળે ખરી પડશે, કાઢવાનો નથી. [10] ‘સહજ’ને નિહાળતા, પ્રગટે સહજતાઆત્મા સહજ છે, હવે પુદ્ગલને સહજ કર, પણ થાય શી રીતે ? સહજાત્મ સ્વરૂપ જ્ઞાનીને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જવાય. કોઈ ગાળો ભાંડતું હોય ને તેવા પ્રસંગે જ્ઞાનીની સહજતા જોવામાં આવે તો પોતાને તરત એવી સહજતા આવડી જાય. જ્ઞાનીને જોવાની દ્રષ્ટિ અને અહોભાવ થાય કે તેવા ગુણ પોતાનામાં પ્રગટ થઈ જાય. જેમ ગજવા કાપવાનો એકસ્પર્ટ બનાવવો હોય તો એના ઉસ્તાદ પાસે મૂકો તો છ મહિનામાં એકસ્પર્ટ થઈ જાય. કૉલેજમાં ચોપડાઓ ભણવાથી ના થાય. ડૉક્ટરમાંય ત્રણ વર્ષ એકસ્પર્ટ ડૉક્ટર નીચે ઈન્ટર્ન્શિપ કરાવે ત્યારે સર્ટિફાઈડ ડૉક્ટર થાય. એવું આ જ્ઞાની પુરુષ પાસે રહ્યો, એમનો રાજીપો મેળવશે, કૃપાપાત્ર થશે તો એની મેળે સહજતા ઉત્પન્ન થઈ જાય. પરમ પૂજ્ય દાદાશ્રીની સેવામાં, સાનિધ્યમાં પૂજ્ય નીરુમા રહેલા તો એ સહજ દશા એમને સહજાસહજ પ્રગટ થઈ ગઈ હતી. અહંકાર વગરની દશા ને બુદ્ધિ વગરની દશા ! એ બે દશા તો જ્ઞાની સિવાય ક્યાંય જોવા મળે જ નહીં ને ! લોકોને વીતરાગતા રાખતા આવડતું નથી. પણ આ વીતરાગ પુરુષ છે એ તરત સમજી જાય છે ! ફોટોગ્રાફરો પણ સહજને તરત ઓળખી કાઢે ને એમના ફોટા લે લે કર્યા કરે ! આવા જગતના નિયમ છે બધા. જે દેહના, મનના, વાણીના માલિક નથી, એવા જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સમાધિ દશા જોવા મળે ! કોઈ એમને ધોલ મારે તોયે સમાધિ જાય નહીં ને ઉપરથી આશીર્વાદ આપે ! વચ્ચે ડખલ કરનારો પોતે ખસી ગયો તો અંતઃકરણથી આત્મા જુદો જ છે. આત્મા જુદો વર્તે અને અંતઃકરણ ને બાહ્યકરણથી સાંસારિક કાર્યો ચાલ્યા કરે. એનું નામ જ સહજ. સાહજિક એટલે નૉ લૉ લૉ. જેમ અનુકૂળ આવે તેમ રહે. મને લોકો શું કહેશે, એવો વિચાર સુદ્ધા ના આવે ! ‘હું કરું છું’ એ ભાવ ખલાસ થઈ ગયો હોય અને ક્રિયા સ્વભાવિક થયા કરે, પોટલાની પેઠ વર્ત્યા કરે. પોતાપણું જ નહીં એટલે પોતાનો મત જ ના હોય. એટલે પારકાના મતે ચાલ્યા કરે, એ જ સાહજિકપણું. રિલેટિવમાં કુદરત રાખે એમ રહે અને પોતે નિરંતર સાહજિકતામાં જ હોય. સહજ થાય તો નિરંતર ઉપયોગમાં રહેવાય. દાદાશ્રી કહે છે, અમારે સાહજિકતા હોય ત્યાં સુધી પ્રતિક્રમણેય કરવા ના પડે. સાહજિકતામાં ફેર પડે ત્યારે પ્રતિક્રમણ કરવા પડે. જ્ઞાનીને શુભ વ્યવહાર સહજભાવે હોય ને અજ્ઞાનીને શુભ વ્યવહાર કરવો પડે. જ્ઞાનીને ત્યાગ કે અત્યાગ (ગ્રહણ) કડાકૂટેય હોય નહીં, સહજભાવે એવી વિશેષ વિલક્ષણતા હોય કે શુભ ઉપર રાગ કે અશુભ ઉપર દ્વેષ, કિંચિત્માત્ર ના હોય. ભગવાન મહાવીરને કાનમાં બરુ ઠોકાયા, બરુ ખેંચીને કાનમાંથી કાઢ્યા કે દેહે બૂમ પાડી હશે કે આંખમાંથી પાણી ગયા હશે, પણ એ દેહ એના સહજભાવમાં હોય અને પરપરિણામ જે ડિસ્ચાર્જરૂપે છે, એમાં પોતે વીતરાગ જ હોય. દેહને અસર ના થાય ને સ્થિર રહે તે તો અહંકારથી રાખી શકે, એ જ્ઞાની કહેવાય જ નહીં. જ્ઞાનીને સહજ આત્મા એટલે સ્વપરિણામ અને દેહ એના સહજ સ્વભાવમાં કૂદાકૂદ કરે. બરુ મારતી વખતે ભગવાન મહાવીરને કરુણાના આંસું હતા ને બરુ કાઢતી વખતે વેદનાના આંસું હતા ! આ બધી અલૌકિક વાત છે ! અહંકાર શું કરે કે આ હું જો હમણે રડીશ તો આ લોકોને મારું જ્ઞાન ખોટું લાગશે, માટે રડે નહીં. અને સહજતાવાળાને તો લોકોને ભલે જેવું લાગે તેવું, આત્મા પોતે સ્વપરિણામમાં જ હોય, એ જ સહજ આત્મા ! અને દેહ દાઝે તો ઊંચો-નીચો થઈ જાય, હાલી જાય, તેય સહજ સ્વભાવમાં. ગજસુકુમારને માથામાં અંગારા મૂક્યા સગડી બનાવીને, ત્યારે માથું બળ્યા કરે છે, તે જ્ઞાનમાં રહીને જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે ‘હું શુદ્ધાત્મા છું, કેવળજ્ઞાન સ્વરૂપ છું, આ જુદું છે.’ મહીં બળતરા બધી થઈ, તે બધી ખબર પડી અને છેવટે હિસાબ પૂરા કરી મોક્ષે ગયા. જ્ઞાનીઓ, તીર્થંકરો નિરંતર પોતાના કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહે અને પોતાના એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખીને જોયા કરતા હોય. દાદાશ્રી કહે છે, અમને ચાર ડિગ્રી ખૂટે છે એટલે મહાવીર ભગવાન જેવું ન રહેવાય જ્ઞાનમાં. અને એ ચાર ડિગ્રીની કચાશ પણ આપણા જેવા લોકોના કલ્યાણ માટે. જ્ઞાન આપવું જ્ઞાનવિધિ દ્વારા, આજ્ઞા આપવી તે અને એ પુરુષાર્થનું ફળ એમને ચાર ડિગ્રી ખૂટે છે, તેમાં બે ડિગ્રીને વધારે, આમ ડિગ્રી વધતા વધતા એ પુરુષાર્થ કેવળજ્ઞાનની નજીક લઈ જાય. કેવળજ્ઞાન થયા પછી કંઈ પુરુષાર્થ રહેતો નથી, પછી તદ્દન સહજભાવ જ. [11] વિજ્ઞાનથી પૂર્ણતાને પંથેએક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. આ અક્રમ વિજ્ઞાન અને દાદા ભગવાનની કૃપાથી મહાત્માઓને સહજ દશાની શરૂઆત થઈ છે. આ પાંચ આજ્ઞા, આ વિજ્ઞાનની સમજ નિરંતર આપણને સહજ કરી જ રહ્યું છે અને પૂર્ણ સહજ થયા એટલે ભગવાન પદ. જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે. અને છેલ્લી દશા કઈ ? આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં. નિશ્ચય આત્મા સહજ છે, તો વ્યવહાર આત્માને આજ્ઞામાં રહી સહજ કરો. એટલે આપણે બે એક થઈ ગયા, પછી એ કાયમનો પરમાત્મા થાય. સહજ પુરુષના વાક્યો જગતને હિતકારી હોય. અક્રમ વિજ્ઞાનમાં સહજ થવાય એવા ઉપાય છે ! દેહને સહજ કરવો એટલે એની જે ઈફેક્ટ હોય એમાં કોઈપણ જાતનો ડખો નહીં કરવો. ‘હું કંઈક કરું છું’ એ ભ્રાંતિથી ડખો થઈ જાય છે. ‘આ મારાથી ના થાય, મારાથી આ થાય, મારે આ કરવાનું છે’ એ બધું અહંકાર જ છે. એ જ ડખો સહજ ન થવા દે. વ્યવહારમાં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી. સહજાત્મસ્વરૂપ વ્યવહારમાં એટલે કોઈ કોઈને ડખલ નહીં સામસામે, કે આમ થાય કે આમ ના થાય. કર્તા પુરુષ જે કર્યા કરે, એને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા કરે. કૃપાળુદેવ કહે છે કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. દાદાશ્રી કહે છે કે અમારે સહજ સ્વરૂપ સ્થિતિ થઈ ગઈ છે. મહાત્માઓએ સહજ સ્વરૂપ થવાનું છે. સહજરૂપે સ્થિતિ થવી એટલે પુદ્ગલ સારું-ખોટું હોય એ પૂરણ થયેલો માલ ગલન થાય છે, એને જોવા-જાણવાની જ જરૂર છે. અહો કેવી અદ્ભુત અજાયબી આ અક્રમ વિજ્ઞાનની કે સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા થઈ શકે ! બન્ને પોતપોતાની ક્રિયામાં રહે, સંપૂર્ણ વીતરાગતામાં રહીને ! સહજાત્મસ્વરૂપી આ જ્ઞાની પુરુષ દાદાશ્રીએ અત્યંત કરુણા કરી છે આ કાળના જીવો પ્રત્યે, આવું અજાયબ અધ્યાત્મ વિજ્ઞાન આપીને ઘણા લોકોનું સર્વસ્વ કલ્યાણ કરી નાખ્યું છે. જ્ઞાની પુરુષનું મૌન તપોબળ અનેકોનું કલ્યાણ કરીને જ રહેશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ સમર્પણઅહો, કળિકાળે, અદ્ભુત આશ્ચર્ય સર્જાયા, જ્ઞાની કૃપાએ, સ્વરૂપના લક્ષ પમાયા. આત્મા-અનાત્માના, સિદ્ધાંતિક ફોડ સમજાયા, આતમજ્યોત પ્રકાશે, મોક્ષે કદમ મંડાયા. પ્રકૃતિથી જુદા થઈ, પુરુષ પદે સ્થિર થયા, પ્રતિષ્ઠા બંધ થઈ, ‘પ્રતિષ્ઠિત’ના જ્ઞાતા થયા. નિજ અપ્રયાસે, મન-વાણી-કાયા નોખા નિહાળ્યા, અહમ્-બુદ્ધિ વિલયે ડખોડખલ બંધ ભાળ્યા. ‘વ્યવસ્થિત’ ઉદયે, ડિસ્ચાર્જના જ્ઞાતા રહ્યા, સહજ પ્રકૃતિ થાતા, નિરાલંબ પોતે થયા. સહજ ‘આ’ અનુભવે, ‘સહજ’ના મર્મ સમજાયા, ‘સર્વજ્ઞ’ સ્વરૂપ ‘આ’ જ્ઞાની, સહેજે ઓળખાયા. જ્ઞાનીની સહજ વાણીના, શાસ્ત્રો રચાયા, કેવી કરુણા જગ કલ્યાણે ! સહેજે સમર્પાયા. ‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઅો સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. (પા.૧)સહજતા[1] સહજ ‘લક્ષ’ સ્વરૂપનું, અક્રમ થકી !અહીં પ્રાપ્ત સ્વનો સાક્ષાત્કારદાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એનું નિરંતર લક્ષ રહે છે ? પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા. ‘હું શુદ્ધાત્મા છું’નું લક્ષ હંમેશા રહ્યા કરે છે, ચોવીસ કલાક. દાદાશ્રી : એ આપણા લક્ષમાં રહ્યા જ કરે. એ આત્મધ્યાન કહેવાય છે, એ શુક્લધ્યાન કહેવાય છે. નહીં તો એક ઘડીવાર આત્મા યાદ ના રહે. ‘હું શુદ્ધાત્મા છું’ એ યાદગીરી નથી આ. આ તો સાક્ષાત્કાર છે અને અભેદતા છે. આ આત્મજ્ઞાન મળ્યા પછી ‘પોતે’ હવે સમ્યક્ દ્રષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે’ મિથ્યાદ્રષ્ટિવાળો હતો. જ્ઞાની આ રોંગ બિલીફો (મિથ્યા દ્રષ્ટિ) ફ્રેક્ચર કરી નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક્ દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ* ન હોય, હું શુદ્ધાત્મા છું’, એવી બિલીફ બેસી જાય. બંને અહંકારની જ દ્રષ્ટિ છે. પેલી રિલેટિવ દ્રષ્ટિ એ દ્રશ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને અને આ રિયલ દ્રષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દ્રશ્ય છે. ચેતનના દ્રષ્ટા અને જ્ઞાતા બન્ને ગુણ છે. (પા.૨)પ્રશ્નકર્તા : દ્રષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છેને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો દ્રષ્ટિ શું છે ? દાદાશ્રી : દ્રષ્ટિ તો અહંકારને છે. આત્માને દ્રષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે, મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે ! પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ? દાદાશ્રી : એ અહંકારને દ્રષ્ટિ થાય છે. પેલી મિથ્યાદ્રષ્ટિ હતી, તેના કરતાં ‘આમાં’ વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને તેલમાં નાખીએ તો ઓગળે નહીં, પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે. ત્યાં સુધી અહંકાર છે. સહજ થયા કરે એ વિજ્ઞાનપ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન છે ? દાદાશ્રી : ના, એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે, જે કરવું પડે, એને જ્ઞાન કહેવાય અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન. પ્રશ્નકર્તા : સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું ? દાદાશ્રી : સહજ ભાવ જ એને કહેવામાં આવે છે કે કશા પ્રયત્ન સિવાય ઊંઘમાંથી જાગો ત્યારે તમને ‘હું શુદ્ધાત્મા છું’નો ખ્યાલ આવે છે એની મેળે ? પ્રશ્નકર્તા : આવે. (પા.૩)દાદાશ્રી : એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય, ‘હું શુદ્ધાત્મા છું’ એની મેળે જ આવે અને બીજે ગુરુ મહારાજ મંત્ર સ્મરણ આપે છે, તે યાદ આવે ને નાયે આવે. એને માટે પ્રયત્ન કરવો પડે ને આ તો તમને સહજ થઈ ગયેલું છે. સહજાત્મસ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. તે પાંચ આજ્ઞા પાળવાથી થઈ શકે સહજ. બન્ને સહજ થઈ ગયા, એનું નામ મોક્ષ. સહજ વર્તે લક્ષ, શુદ્ધાત્માનુંપ્રશ્નકર્તા : સમકિત પ્રાપ્ત જીવને આત્માનું સ્મરણ કેવી રીતે રહે ? દાદાશ્રી : સમકિતી જીવને ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન એની મેળે આવે અને પેલા બીજા લોકોને કશું ઠેકાણું ના હોય. તે એને થોડું ઘણું કોઈ વાર ખ્યાલ આવે કે આ ‘હું આત્મા છું’, પણ સમકિતીને તો એની મેળે આવે. અને સ્મરણ તો કરવું પડે, એમાં બહુ ફેર. સ્મરણ કરીએ તો વિસ્મરણ થાય. વિસ્મરણ થયેલું હોય, તેનું સ્મરણ કરવાનું. એટલે આ બધા ચઢવાના રસ્તા છે. એટલે રટણ તમારે બોલવાનું (કરવાનું) નહીં. રટણ કરોને, તો પેલું મૂળ સહજ બંધ થઈ જશે. સહજ મહીં આવે, સહજાસહજ આવે, ‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ જ રહ્યા કરે. પ્રશ્નકર્તા : તો ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવાનું નહીં ? દાદાશ્રી : બોલવું હોય તો બોલો. ના બોલવું હોય તો કંઈ જરૂર નથી એની. એ નિરંતર ચોવીસ કલાક લક્ષમાં જ રહે. રોજ રાતે ‘હું શુદ્ધાત્મા છું’ બોલતાં બોલતાં સૂઈ જવું. અને આ પાંચ આજ્ઞા પાળવી, બહુ થઈ ગયું. અહીંથી જ મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખોનો અભાવ થઈ ગયો. સંસારી દુઃખ અડે નહીં હવે. ન હોય આ રટણ શુદ્ધાત્માનુંપ્રશ્નકર્તા : ‘જ્ઞાન’ લીધા પછી, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એનું (પા.૪)રટણ અને ભગવાનનું નામસ્મરણ, એ બેમાં શું ફેર ? દાદાશ્રી : ઓહોહો, રટણની તો બહુ જરૂર જ નથી હોતી. રટણ તો રાત્રે થોડીક વાર માટે કરીએ પણ કંઈ આખો દહાડોય, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એવું ગા ગા કરવાની જરૂર હોતી નથી. પ્રશ્નકર્તા : એવું કરે નહીં પણ ‘હું શુદ્ધાત્મા છું’ એ એની મેળે આવી જાય છે. દાદાશ્રી : ના, પણ રટણ કરવાની જરૂર નથી. રટણ કરવું અને આવી જવું એ બેમાં ફેર છે. એની મેળે આવે અને રટણ કરવામાં ફેર ખરો કે નહીં ? શો ફેર ? પ્રશ્નકર્તા : પેલું સહજ આવે. દાદાશ્રી : હા, સહજ આવે. એટલે એ સહજ જે આવે છે તમને, એ તો બહુ કિંમતી છે. રટણ કરવું એ ચાર આના કિંમતી હોય તો આની કિંમત તો અબજો રૂપિયા છે. એટલા બધા ફેરવાળી વાત આ બે ભેગી તમે મૂકી. અત્યારે તમારા ધ્યાનમાં ‘હું ચંદુભાઈ છું’ એવું રહે છે કે ખરેખર ‘હું શુદ્ધાત્મા છું’ એ રહે છે ? પ્રશ્નકર્તા : હું શુદ્ધાત્મા છું. દાદાશ્રી : તો એ શુકલધ્યાન કહેવાય. તમારા ધ્યાનમાં શુદ્ધાત્મા છે, એને શુકલધ્યાન કહ્યું છે. અને શુકલધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એટલે તમારી પાસે જે સિલક છે, એ અત્યારે હિન્દુસ્તાનમાં, આ વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી, એવી છે ! માટે આ સિલકને સાચવીને વાપરજો. અને એને આની જોડે સરખામણી ના કરશો. તમે કોની જોડે સરખામણી કરી ? પ્રશ્નકર્તા : ભગવાનનું નામસ્મરણ. દાદાશ્રી : એ તો જાપ કહેવાય ને જાપ તો એક પ્રકારની શાંતિને માટે જરૂરી, જ્યારે આ તો સહજ વસ્તુ છે. (પા.૫)પ્રયત્ન ત્યાં અનુભવ નહીંક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોયને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય. એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય, જે એની મેળે પ્રાપ્ત થાય અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે. પણ તમારો આત્માનુભવ એ અંશ અનુભવ છે અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય પણ હજુ પ્રગતિ માંડશો ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહીને જ્ઞાન સમજી લેવાનું છે બધું. પ્રશ્નકર્તા : જ્ઞાનને સ્થિર કરવા શું સાધન કરવું પડે ? દાદાશ્રી : સાધન કરવાનું ના હોય. જ્ઞાનને સ્થિર કરવા સમજવાની જ જરૂર. કરવું પડે તો સ્થિર ના થાય. કરવું પડે ત્યાં સહજતા જતી રહે, સ્થિર ના થાય. સમજવું પડે તો સ્થિર થાય. સહજ ખ્યાલ તે કેવળ દર્શનપ્રશ્નકર્તા : શુદ્ધાત્માનો ખ્યાલ રાખવા એનો અભ્યાસ કરવો જરૂરી છે ? દાદાશ્રી : અભ્યાસ કરવો એનાથી ખ્યાલ જતો રહે ઊલટો. ખ્યાલ તો સહજ સ્વભાવી છે. સૂર્યનારાયણ ઊગે એટલે સૂર્યનારાયણના મનમાં એમ થાય કે બધે અજવાળું મારે ફેંકવું પડશે ને ? ના, તમે ઊગશો એ બહુ થઈ ગયું, તમે ફેંકશો નહીં, કહીએ. માથાકૂટ ના કરશો. એ માથાકૂટમાં તમે ક્યાં પડો, કહીએ. તમે આવો એટલે બહુ થઈ ગયું અમારે. એટલે આ તો હોય જ. એને પ્રયત્ન ના કરવાના હોય. સહજ વસ્તુ, સ્વાભાવિક વસ્તુ છે. અમારી આજ્ઞામાં (પા.૬)રહેવું ત્યાં પ્રયત્ન, પુરુષાર્થ. એ પુરુષાર્થવાળી વસ્તુ છે. બીજે બધે સહજ હોય, એની મેળે જ આવે એનું ફળ. એક શેઠ મોટરમાં જતા હોય, તે કોઈ ક્ષણે અકસ્માત થાય, તેને દવાખાનામાં લઈ જાય, પગ કાપવો પડે અને પછી ચાલવા માટે લાકડીનો ટેકો રાખવો પડે. હવે તે ઊંઘી જાય છે. ઊંઘમાંથી તે જાગે કે તુર્ત જ તેને પોતાને સહજ ભાવે ખ્યાલમાં આવે, સૌ પ્રથમ તેને લાકડી યાદ આવશે. એવો સહજ ખ્યાલ બેસવો એ છે ‘કેવળ દર્શન’. એક ફેરો કૉલેજમાં પાસ થયા પછી ભૂલાય ખરું ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું આ એક ફેરો તમે શુદ્ધાત્મા થયા એ શી રીતે ભૂલાય ? અને કૉલેજમાં નાપાસ થયા તેય શી રીતે ભૂલાય ? પાસ થયા તેય શી રીતે ભૂલાય ? આત્મદ્રષ્ટિની જાગૃતિપ્રશ્નકર્તા : ચંદુભાઈ અને આત્મા જુદા છે, એ સહજ રીતે ખબર પડવી જોઈએ કે આપણે પ્રયત્ન કરવો જોઈએ, પ્રેક્ટિકલથી ? દાદાશ્રી : ના, એ તો જાગૃતિ જ કરી આપે. જાગૃતિ રહ્યા જ કરે એ. જેમ આપણે એક દાબડીમાં છે તે હીરો મૂક્યો હોય તો જ્યારે દાબડી ખોલી હતી, તે દહાડે હીરો જોયો હતો. પણ પછી દાબડી વાસેલી હોય ને પડેલી હોય તોય મહીં આપણને હીરો દેખાય. ન દેખાય ? પ્રશ્નકર્તા : દેખાય. દાદાશ્રી : આ ‘દેખાય છે’ એનો અર્થ શું છે ? પછી તમને હીરો કાયમ ખ્યાલમાં રહેને કે આ દાબડીની મહીં હીરો છે. આ દાબડી જ છે એવું કહો કે પછી આ દાબડીમાં હીરો છે એવું બોલો ? પ્રશ્નકર્તા : પણ દાદા, એવું બને છે કે રસ્તામાં જઈએ અને શુદ્ધાત્મા (પા.૭)જોતા જઈએ પણ જેમ એક વસ્તુ જોઈ છે કે આ ડબ્બીમાં હીરો જ છે અને જેવું દેખાયને, એવું સ્પષ્ટ દેખાય નહીં. દાદાશ્રી : સ્પષ્ટ દેખવાની જરૂરેય નહીં. પ્રશ્નકર્તા : એ તો પછી મિકેનિકલપણું લાગે. દાદાશ્રી : ના, ના, જોયેલો છે. આપણા લક્ષમાં જ હોય, કે હીરો જ છે. એ તો આપણને લાગે છે. દિવ્યચક્ષુ ઉપયોગે...આ બધામાં શુદ્ધાત્મા જુઓ છો ? પ્રશ્નકર્તા : જોઉં છું પણ કો’ક વખત વિસ્મૃત થઈ જાય. દાદાશ્રી : કો’ક વખત વિસ્મૃત થઈ જાય એમ નહીં, પણ કો’ક વખત જુઓ છો ખરાને ? પ્રશ્નકર્તા : હા, જોઉં છું. દાદાશ્રી : એ જોવાનો અભ્યાસ કરે એટલે આખો દહાડો સમાધિ રહે. એક કલાક આમ બહાર નીકળ્યા, શુદ્ધાત્મા જોતાં જોતાં જઈએ તો કોઈ વઢે આપણને કે શું જુઓ છો ? આ આંખે રિલેટિવ દેખાય, અંદરની આંખથી શુદ્ધાત્મા દેખાય. આ દિવ્યચક્ષુ છે. તમે જ્યાં જોશો ત્યાં દેખાશે. પણ એનો અભ્યાસ પહેલા કરવાનો, પછી સહજ થઈ જશે. પછી એમ ને એમ સહજાસહજ દેખાયા કરશે. અભ્યાસ પહેલાંનો તો અવળો હતો, એટલે આનો અભ્યાસ કરવો પડે ને ? એટલે થોડા દહાડા હેન્ડલ મારવું પડે. પ્રશ્નકર્તા : સવારે બહાર ચાલવા જઈએ ત્યારે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એમ બોલીએ અને પછી આજુબાજુ ઝાડ-પાનને બધું જોઈએ ત્યારે બોલાઈ જવાય કે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, તો એ બેમાંથી કયું વધારે સારું ? દાદાશ્રી : પેલું જે બોલો છો, કરો છો એ બધું બરાબર છે. એ જ્યારે પછી ધીમે ધીમે બોલવાનું બંધ થઈ જશે, ત્યારે એથી વધારે સારું. બોલવાનું (પા.૮)બંધ થાય અને એમ ને એમ જ થયા કરે. પ્રશ્નકર્તા : તો આ બેમાંથી કયું સારું ? દાદાશ્રી : બન્નેય, બોલવાનું જરૂરી નથી, છતાં બોલે છે તો સારું છે. બોલ્યા વગર એમ ને એમ નમસ્કાર ના કરાય ? પણ અંદર બોલે છે તેય વાંધો નથી. મનમાં એવું થાય તોય વાંધો નહીં. શુદ્ધ સામાયિકની કિંમતપાંચ વાક્યોમાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ અને ના રહેવાય તો મહીં ખેદ રાખવો થોડો ઘણો, કે એવા તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે આપણને આજ જંપીને બેસવા નથી દેતા ! દાદાની આજ્ઞામાં રહેવાને માટે, કર્મના ઉદય પાછા સહિયારા જોઈએ ને ? ના જોઈએ ? નહીં તો એક કલાક આમ હેંડતા હેંડતા શુદ્ધાત્મા જોતાં જોતાં જવું. તે કલાક કાઢી નાખવો. હેંડતાં-ચાલતાં પુણિયા શ્રાવકનું સામાયિક થઈ ગયું ! ‘આપણી’ આ સામાયિક કરો છો, ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય. પ્રશ્નકર્તા : જેની સામાયિક ભગવાન મહાવીરે વખાણી, એમાં શું રહસ્ય છે સમજાવો જરા. દાદાશ્રી : એ શુદ્ધ સામાયિક હતી. એવી સામાયિક મનુષ્યનું ગજુ જ નહીં ને ! શુદ્ધ સામાયિક, આ જેવું મેં તમને આપ્યું છે, એ દિવ્યચક્ષુ સાથેનું સામાયિક હતું. એ પુણિયો ઘરમાં રહે, બહાર ફરે તોયે પણ એનું શુદ્ધ સામાયિક, દિવ્યચક્ષુના આધારે એમને સામાયિક હતું. એ w લઈ આવે. એની પુણીઓ કરીને પછી એને વેચે, એટલે પુણિયા શ્રાવક કહેવાતા’તા. પુણીઓ કાંતતી વખતે એનું મન જે હતું, તે આની મહીં તારમાં હતું અને ચિત્ત ભગવાનમાં હતું. આ સિવાય બહાર બધું કશું જોતો-કરતો નહોતો. ડખલ કરતો જ નહોતો. વ્યવહારમાં મન રાખતો’તો અને નિશ્ચયમાં ચિત્તને રાખતો’તો. તો એ ઊંચામાં (પા.૯)ઊંચી સામાયિક કહેવાય. આ અભ્યાસ બનાવે સહજપ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ મોટે ભાગે આમ તો રહે છે પણ અમુક વખતે પાછું જતું રહે. એવું થયા કરે. દાદાશ્રી : એ તો એવું છેને, ઘણા કાળનો અવળો અભ્યાસ એટલે એ થયા કરે. પછી આપણે એમ કરતાં કરતાં આ અભ્યાસ મજબૂત થયો એટલે સહજ થઈ જાય. અવળો અભ્યાસ અત્યાર સુધી અનંત અવતારથી હતો. એટલે આ અભ્યાસ કરતાં કરતાં કરતાં થઈ જાય. અભ્યાસ કરવો પડે. પહેલાં પાંચ-સાત દહાડા અભ્યાસ કર કર કરીને પછી છે તે સહજ થઈ જાય. આ બહાર રિલેટિવ ને રિયલ જોવાનો અભ્યાસ પાડવો પડે પહેલાં. અભ્યાસી હોય પછી થાય. કર્તા ને દ્રષ્ટા છૂટા, ત્યાં સહજતાપ્રશ્નકર્તા : પણ દાદા, તમે કહો છો ને તમને સહજ થઈ ગયેલું છે પછી અભ્યાસની શી જરૂર ? દાદાશ્રી : આ સહજ તો એટલે કહેવા માંગે છે કે અસહજ થયેલું છે, એ જો સહજ થાય, એની એ જ ક્રિયા પાછી થાય અને આપણને કંઈ વગર મહેનતે થાય, ત્યારે આપણે જાણીએ કે ઓહોહો ! આ તો સહજ થઈ ગયું. માટે સહજ સ્વરૂપ ઉત્પન્ન થઈ ગયું, નહીં તો સહજસ્વરૂપે ના થાય. એય ચાનો પ્યાલો લાવ્યો ને લઈ ગયો ને મેલ્યો ને કર્યો ને, અત્યારેય બધું થાય, તે ચંદુભાઈ કરે, તમારે શું લેવાદેવા ? ચંદુભાઈને તમે જાણો છો, ચંદુભાઈએ આ કર્યું ને તે કર્યું. હવે અસહજ શાથી હતો ? ત્યારે કહે, કર્તા હતો ને જ્ઞાતા-દ્રષ્ટા, બેઉ પોતે હતો. ‘મેં આ કર્યું’ અને ‘આ મેં જાણ્યું.’ અલ્યા મૂઆ, એ બે ધારાઓ જુદી છે ને પાછી એક જ કરી નાખી, ભેગી કરી આ લોકોએ. એ કષાયનો સ્વાદ આવે છે. આ સંસારનો સ્વાદ કેવો આવે છે ? બે ધારાઓ ભેગી થઈને એટલે કષાયનો આવે છે અને બે જુદી થાય એટલે મીઠું લાગે. હવે જુદી થવી એનું નામ સહજ. (પા.૧૦)પ્રશ્નકર્તા : તો અભ્યાસથી પછી બધું સાહજિક થઈ જાય ? દાદાશ્રી : જ્ઞાન લીધા પછી સહજ થવાની શરૂઆત થાય. જે અસહજતા આવી હતી તે સહજ થવાની શરૂઆત થાય. અને મહીં પરિણામ સહજ હોય, અને બહાર ઈફેક્ટ સહજ હોય. અને પોતાનું પરિણામ છે તે સહજ થવાની ક્રિયામાં હોય. એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના દે એવું બધું હોય. શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થપ્રશ્નકર્તા : એક એવી વાત નીકળી હતી કે અજ્ઞાનનો જેટલો સજ્જડ અનુભવ થયો છે એવો જ્ઞાનનો સજ્જડ અનુભવ થવો જોઈશે. દાદાશ્રી : જ્ઞાનનો ગાઢ અનુભવ થાય એટલે પછી ઉપયોગ દેવાનો રહ્યો નહીં, એમ ને એમ રહ્યા કરે. ગાઢ અનુભવ ના થયો હોય ત્યાં સુધી ઉપયોગ દેવો પડે. ઉપયોગ એ પુરુષાર્થ કહેવાય છે. અને પુરુષાર્થ એ પૂરો ક્યારે પહોંચે ? ગાઢ પહોંચ્યું એટલે પુરુષાર્થ પૂરો થઈ ગયો. પ્રશ્નકર્તા : તો અજ્ઞાનતાનો અનુભવ ઊભો થાય છે, ત્યારે એ ઉપયોગ દેવાની જરૂર છે ? દાદાશ્રી : ઉપયોગ ત્યારે જ દેવાનો હોયને ! પ્રશ્નકર્તા : એટલે એ અનુભવની અસરમાં પોતે ના લપટાય. દાદાશ્રી : પોતાનો ઉપયોગ પાછો રાખેને, તો અજ્ઞાનતાના અનુભવની અસરમાં લપટાય નહીં. એ ટાઈમ પોતાનો કહેવાય છે, સમયસાર કહેવાય. એ સમયસાર વગરનો ના થાય. નહીં તો સમયસાર ના કહેવાય, પરસમય કહેવાય. આત્માનો ઉપયોગ રહ્યો, એ સમયસાર બધો. જે સમય સ્વને માટે ગયો એ બધો સમયસાર અને જે સમય પરને માટે ગયો એ બધો પરસમય. પ્રશ્નકર્તા : અજ્ઞાનનો અનુભવ કોને થાય છે અને જ્ઞાનનો અનુભવ કોને થાય છે ? દાદાશ્રી : આ અજ્ઞાનનો અનુભવ બુદ્ધિને થાય અને અહંકારને થાય (પા.૧૧)અને જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય. પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલે છે, તેય પ્રજ્ઞા જુએ છે ? દાદાશ્રી : બોલે છે ટેપરેકર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે. પ્રશ્નકર્તા : તો એ સહજ ક્રિયા પ્રજ્ઞાની થઈ ? દાદાશ્રી : પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વાભાવિક જ હોય. નિરાલંબ બનાવે પંચાજ્ઞાઆ જે આપ્યું છેને, એ શુદ્ધાત્મા પદ છે. હવે શુદ્ધાત્મા પદ ત્યાંથી મોક્ષ થવાનો સિક્કો વાગી ગયો. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે પણ ‘શુદ્ધાત્મા’ એ શબ્દનું અવલંબન કહેવાય છે. જ્યારે નિરાલંબ થશે ત્યારે આત્મા દેખાય બરોબર. પ્રશ્નકર્તા : હા, તો એ નિરાલંબ દશા ક્યારે આવે ? દાદાશ્રી : હવે ધીમે ધીમે નિરાલંબ ભણી જ જવાના. આ અમારી આજ્ઞામાં ચાલ્યા કે નિરાલંબ ભણી ચાલ્યા. એ શબ્દનું અવલંબન ધીમે ધીમે જતું રહેશે અને છેવટે નિરાલંબ ઉત્પન્ન થઇને ઊભું રહેશે. નિરાલંબ એટલે પછી કોઇની કંઇ જરૂર ના હોય. બધું આખું ગામ જતું રહે તોય ભડક ના લાગે, ભય ના લાગે, કશું જ નહીં. કોઇના અવલંબનની જરૂર ના પડે. હવે ધીમે ધીમે તમે એ તરફ જ ચાલ્યા. અત્યારે તમે ‘શુદ્ધાત્મા છું’ કર્યા કરો, એટલું જ બસ છે. પ્રશ્નકર્તા : એટલે આત્મદર્શન પછી જે સ્થિતિ આવે તે તદ્દન નિરાલંબ સ્થિતિ જ હોઈ શકે ને ? દાદાશ્રી : નિરાલંબ થવાની તૈયારીઓ થયા કરે. આ અવલંબનો ઓછાં થતાં જાય. છેવટે નિરાલંબ સ્થિતિ થાય. એટલે મારી પાસે શુદ્ધાત્મા તમે બધા પ્રાપ્ત કરો છો. હવે એ શુદ્ધાત્માનું લક્ષ તમને નિરંતર રહેતું હોય એની મેળે, સહજ રીતે રહેતું હોય, યાદ કરવ (પા.૧૨)ના પડતું હોય, તમને ચિંતા-વરીઝ ના થતી હોય, સંસારમાં ક્રોધ-માન-માયા-લોભ ન થતાં હોય તોય એ મૂળ આત્મા નથી. જે શુદ્ધાત્મા છે તે તમને પ્રાપ્ત થયો છે, એટલે મહીં મોક્ષના પહેલા દરવાજામાં તમે પેઠા છો. એટલે તમારું નક્કી થઈ ગયું કે તમે હવે મોક્ષને પામશો. પણ એથી તો ઘણો આગળ મૂળ આત્મા છેટો છે. તમારે આ શબ્દનું અવલંબન જતું રહે, એટલા માટે આ પાંચ આજ્ઞા પાળો તો ધીમે ધીમે દર્શન દેખાતું જાય. દેખાતું દેખાતું દેખાતું પોતાના સેલ્ફમાં જ અનુભવ રહ્યા કરશે. પછી શબ્દની જરૂર નહીં પડે. એટલે શોર્ટકટમાં તો આવી ગયા ને ! (પા.૧૩)[2] અજ્ઞ સહજ - પ્રજ્ઞ સહજએ સહજ પણ પ્રાકૃત સહજપ્રશ્નકર્તા : આત્માનું જે ઐશ્વર્ય છે, તે સહજપણામાંથી પ્રગટ થતું હશે ? દાદાશ્રી : સહજમાંથી જ, જેટલો સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. હવે સહજ તો ફોરેનવાળાય રહે. આપણાં બાળકોય સહજ છે, પણ એ અજ્ઞાન સહજતા. એટલે આ જ્ઞાનપૂર્વકની સહજતા હોય તો થાય. પ્રશ્નકર્તા : અજ્ઞાન સહજતા વધતા-ઓછા પ્રમાણમાં હોય ? દાદાશ્રી : આ પુરુષો કરતાં સ્ત્રીઓ (વધારે) સહજ છે. અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળાં વધારે સહજ છે અને તેમનાં કરતાંય આ જાનવરો, પશુ-પંખીઓ બધાંય (વધારે) સહજ છે ! પ્રશ્નકર્તા : આ બધાંની સહજતા જ્ઞાનથી છે કે અજ્ઞાનતાથી છે ? દાદાશ્રી : એમની સહજતા અજ્ઞાનતાથી છે. આ ગાયો-ભેંસોની સહજતા કેવી છે, ગાય કૂદંકૂદા કરે, શિંગડાં મારવા આવે, છતાંય એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે. પણ આ અજ્ઞાનતાથી સહજ છે. આ ગાયના વાછરડાને જો કદી પકડવા જઈએ તો એની આંખમાં ખૂબ દુઃખ જેવી બળતરા દેખાય, છતાં એ સહજ છે. આ સહજ પ્રકૃતિમાં જેમ ‘મશીન’ મહીં ફર્યા કરે, એમ એ પોતે મશીનની માફક ફર્યા જ કરે. પોતાના (પા.૧૪)હિતાહિતનું ભાન કશુંય ના હોય. મશીન મહીં હિત દેખાડે તો હિત કરે, અહિત દેખાડતું હોય તો અહિત કરે. કો’કનું ખેતર દેખીને કો’કના ખેતરમાં પેસી જાય. પ્રશ્નકર્તા : એમાં એ કંઈ ભાવ નથી કરતાંને ? દાદાશ્રી : એમને તો કંઈ ‘નિકાલ’ કરવાનો હોતો જ નથી ને ! એ તો એમનો સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ ! એમનો બાબો ચાર-છ મહિનાનો થાય પછી જતો રહે તો એમને કશો વાંધો નહીં. એમની કાળજી ચાર-છ મહિના સુધી જ રાખે. અને આપણા લોકો તો... પ્રશ્નકર્તા : મરતાં સુધી રાખે. દાદાશ્રી : ના, સાત પેઢી સુધી રાખે ! ગાય છે તે એના બાબાની કાળજી છ મહિના સુધી રાખે. આ ફોરેનના લોકો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રાખે અને આપણા હિન્દુસ્તાનના લોક તો સાત પેઢી સુધી રાખે. એટલે આ પ્રાકૃત સહજ વસ્તુ એવી છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું, તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. આ ભમરડો ફરે છે તે ઊંચો થાય, નીચો થાય, કેટલીક વાર આમ પડવાનો થાય, એક ઇંચ કૂદેય ખરો, ત્યારે આપણને એમ થાય કે ‘અલ્યા, પડ્યો, પડ્યો.’ ત્યાં તો મૂઓ પાછો બેસી જાય, એ સહજ કહેવાય. એક્ઝેક્ટ સહજતા, પણ અજ્ઞાન દશામાંપ્રશ્નકર્તા : આ ગાય-ભેંસને પણ અહંકાર હોય ? દાદાશ્રી : હા, અહંકાર હોય જ. એટલે અહંકાર સિવાય ચાલે નહીં ને એમનું બધું. પણ લિમિટેશનવાળું હોય અને એમનો અહંકાર કેવો ? ચાર્જ કરે એવો નહીં, ડિસ્ચાર્જ થતો. એટલે નવું કાર્ય ન કરે, જૂના કાર્યનો નિવેડો લાવે. અહંકારની ડખલ ના હોય ગાયો-ભેંસોને. એ રસોડામાં ઊભી હોય ને તો ત્યાં જ છે તો યુરીન-બાથરૂમ બધું ત્યાં ને ત્યાં જ, (અહીં ના કરાય) એને એવું કશું ના હોય. જે ટાઈમે એનો જેવો ઉદય. તે આપણે અહીં આગળ બુદ્ધિ જોર કરે. (પા.૧૫)પ્રશ્નકર્તા : બુદ્ધિ જાગૃત રાખે એ રીતે. દાદાશ્રી : હા, અહીંયા વિવેક ઉત્પન્ન થયો કે આમ ના હોય, ત્યાં વિવેક ના હોય. પ્રશ્નકર્તા : વિવેક બુદ્ધિથી જ ઊભો થાય કે સાહજિક હોઈ શકે ? દાદાશ્રી : હા, બુદ્ધિથી. બુદ્ધિ વગર ના થાય. બુદ્ધિના પ્રકાશથી વિવેક પડેલો છે. પ્રશ્નકર્તા : વિવેક બુદ્ધિના પ્રકાશથી અને વિનય ? દાદાશ્રી : વિનય હઉ બુદ્ધિના પ્રકાશથી. પ્રશ્નકર્તા : બન્નેય બુદ્ધિના પ્રકાશથી જ છે. દાદાશ્રી : અને પરમ વિનય જ્ઞાનના પ્રકાશથી. ફેર, અજ્ઞ સહજ ને પ્રજ્ઞ સહજમાંપ્રશ્નકર્તા : પ્રાણીઓને પણ સહજ સ્વભાવ હોય છે અને જ્ઞાનીનોય સહજ સ્વભાવ, તો એ બેમાં ફરક શું ? દાદાશ્રી : પ્રાણીઓનો, બાળકનો અને જ્ઞાનીનો, આ ત્રણેયના સહજ સ્વભાવ હોય. જ્યાં બુદ્ધિ જોરદાર હોય ત્યાં આગળ સહજ સ્વભાવ નહીં. લિમિટેડ બુદ્ધિ ત્યાં સહજ સ્વભાવ. બાળકને લિમિટેડ બુદ્ધિ, પ્રાણીઓને લિમિટેડ બુદ્ધિ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય. એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય. પ્રશ્નકર્તા : પણ ફેર શું પડે, જ્ઞાનીમાં ને બાળકમાં ? દાદાશ્રી : બાળક અજ્ઞાનતાથી અને જ્ઞાની સજ્ઞાનતાથી છે. પેલું અંધારામાં અને આ પ્રકાશમાં. પ્રકાશ વગર માણસ સહજ રહી શકે નહીં ને ! એટલે બુદ્ધિ જ્યારે જાય ત્યારે પછી સહજ રહી શકે, નહીં તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુદ્ધિ ઈમોશનલ જ કરે. જ્યાં સુધી જડતા હોય ત્યાં સુધી (પા.૧૬)ઈમોશનલ ના થાય. કેટલા માણસોને આપણે ટૈડકાવ ટૈડકાવ કરીએ છીએને, પછી આપણે જાણીએ કે આ હાલતો કેમ નથી ? પણ શાનો હાલે ? એને વાત હજુ પહોંચી જ નથી તે ! અને બુદ્ધિશાળીને તો બોલતાં પહેલાં વાત પહોંચી જાય. વિચાર કરે ને તોય પેલાને પહોંચી જાય ! જ્ઞાની પુરુષ અને બાળક, બે સરખા કહેવાય છે. ફક્ત ભેદ કયો છે, બાળકને ઊગતો સૂર્ય છે અને જ્ઞાની પુરુષને આથમતો સૂર્ય છે. પેલાને અહંકાર છે પણ એને અહંકાર જાગૃત થવાનો બાકી છે અને આમને અહંકાર શૂન્ય છે. જાગૃતિના સ્ટેપિંગપહેલી પુદ્ગલમાં જાગૃતિ આવવી જોઇએ. આત્મભાન થયા પછી પુદ્ગલમાં ઊંઘે, પછી આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. આ નાનાં છોકરાં દૂધ ઢોળાઇ જાય તો કચકચ કરે છે ? ના. શાથી ? ત્યારે કહે, ‘અજ્ઞાનને લઇને જ.’ પછી જેમ જેમ મોટા થાય તેમ તેમ પુદ્ગલની જાગૃતિ આવે ત્યારે કચકચ કરવી શરૂ કરે. ત્યાર પછી આત્મજાગૃતિની વાત આવે છે. જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઇ પણ સંયોગોમાં ક્લેશિત ના થાય, ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા ‘સ્ટેપિંગ’માં બીજાથી પણ પોતે ક્લેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઇને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય ? ક્લેશરહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય. જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ અંતઃકરણના ચારેય ભાગના દરેક કાર્ય વખતે હાજર રહે એનું નામ જાગૃતિ ! ઉગ્ર કષાય, તેટલો અસહજપ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં ક્રોધ-માન-માયા-લોભનું પ્રમાણ ફોરેનર્સ કરતા વધારે દેખાય છે ? (પા.૧૭)દાદાશ્રી : હિન્દુસ્તાનમાં ઊંચામાં ઊંચો ક્રોધ હોયને, ઊંચામાં ઊંચો લોભ હોય, કપટ ઊંચામાં ઊંચું હોય, તે જ ફુલ્લી ડેવલપ કહેવાય. ફોરેનવાળાને તો કપટ જ ના આવડે. ફોરેનના સાહજિક હોય ને અહીંના વિકલ્પી હોય. આપણે અહીંની સ્ત્રીઓ સહજ છે, છતાં ત્યાંના ફોરેનના પુરુષો કરતાં હજાર ગણી જાગૃત હોય છે. ત્યાંના લોકોની સહજતા કેવી ? એ તો કેવા છે ? મારકણી ગાય હોય, તેને કશું કરે નહીં તોયે શિંગડા મારમાર કરે. જ્યારે ના મારકણી ગાય હોય તેના શિંગડા હલાવ હલાવ કરીએ તોયે કશું કરે નહીં. ફોરેનમાં ગજવા કાપનાર, લૂંટારા હોય તે એટલું જ કર્યા કરે ને ભલો માણસ હોય એ ભલાઈ જ કર્યા કરે, એને લૂંટના વિચાર જ ના આવે. અહીંયા કાકાના છોકરાની પાસે ગાડી માંગી હોય તો હિસાબ કરી લે કે આવવાના ૧૫ માઈલ, જવાના ૧૫ માઈલ, આટલા રૂપિયા પેટ્રોલ, આટલા માઈલ માટે જોઈશે. ઉપરાંત બધા પાર્ટસને ઘસારો લાગશે ને એટલો ટાઈમ મારી ગાડી બીજો વાપરશે. મોટરમાં કંઈ બગડી જશે તો ? એક ક્ષણમાં તો જાત જાતના કેલક્યુલેશન કરીને કહે કે મારે શેઠ આવવાના છે, તો મારાથી ગાડી તને નહીં અપાય. પોતાનું નુકસાન સમજી જાય ને તરત જ ચક્કર ફેરવી નાખે, એ જ ફુલ્લી ડેવલપની નિશાની. આમનો વ્યવહાર ભલે ખરાબ દેખાય, આખી દુનિયામાં ખરાબ વ્યવહાર દેખાય. પણ એ જ ફુલ્લી ડેવલપ છે. જેમ જેમ એ ફોરેનવાળા ડેવલપ થશે ત્યારે તો એય વિકલ્પી થશે. આ ફોરેનના લોક બાગમાં બેઠા હોય તો અરધા-અરધા કલાક સુધી હાલ્યા-ચાલ્યા વગર બેસી રહે ! અને આપણા લોક ધર્મની જગ્યાએય પણ હાલાહાલ કરી મૂકે !! કારણ આંતરિક ચંચળતા છે. ફોરેનના લોકોની ચંચળતા પાઉં ને માખણમાં હોય અને આપણા લોકોની ચંચળતા સાત પેઢીની ચિંતામાં હોય ! પ્રશ્નકર્તા : એ લોકોનેય લોભ હોય છે ને ? દાદાશ્રી : એ લોભ નથી ગણાતો. ત્યાંના તો ગણ્યાગાંઠ્યા જ લોભી માણસો હોય, લોર્ડ કે એવો કોઈ હોય તે. અહીંના તો મજૂરેય લોભી હોય (પા.૧૮)ને ત્યાંના માણસને કહ્યું, ‘પ્લીઝ, હેલ્પ મી. મારી પાસે તો આટલે દૂર જવું છે તેના પૈસા પણ નથી.’ પેલા સાહજિક લોકો તરત જ પોતે ડ્રાઈવીંગ કરીને પોતાને પૈસે મૂકી જશે. ત્યારે આપણા અહીં તો લોક કહેશે, ફોરેનવાળા તો બહુ સારા, બહુ સારા ! અલ્યા, સાહજિકને શું વખાણવા જેવું ? નાલાયક હશે તો મારીને લઈ લેશે ને સારા હશે તો આપી જશે. એને લઈ લેવાના વિચાર જ નહીં આવે, કારણ કે સાહજિક છે અને અહીંનાનું તો ચક્કર તરત ફરે. તે કંઈક તૃત્તિયમ કરે. આ તો ઈન્ડીયન, એનો લોભ તો સાત પેઢીનો લોભ હોય. પણ અત્યારની આ જનરેશનવાળાને લોભ ઓછો થઈ ગયો છે. એ ફોરેનવાળાને વિલિયમ ને મેરી કમાય તો એ જોડું મા-બાપથી છૂટું રહે. આપણે અહીં દિકરો કમાય ને હું ખાઉં, તે દિકરો મારું નામ કાઢે. કારણ કે આધ્યાત્મિકમાં ફુલ્લી ડેવલપ છે, ભલે ભૌતિકમાં અન્ડરડેવલપ છે. એ ફોરેનવાળા ભૌતિકમાં ફુલ્લી ડેવલપ્ડ છે. પ્રશ્નકર્તા : અને હિન્દુસ્તાનના લોકો ? દાદાશ્રી : હિન્દુસ્તાનના લોકો અસહજ છે, તેથી ચિંતા વધારે છે. ક્રોધ-માન-માયા-લોભ વધી ગયાં, એટલે ચિંતા વધી ગઈ. નહીં તો કોઈ મોક્ષે જાય એવા નથી ને કહેશે, ‘અમારે કંઈ મોક્ષે આવવું નથી, અહીં બહુ સારું છે.’ આ ફોરેનના લોકોને કહીએ કે ‘હેંડો મોક્ષમાં.’ ત્યારે એ કહેશે, ‘ના, ના, અમારે મોક્ષની કંઈ જરૂર નથી.’ અહંકારી વિકલ્પી : મોહી સાહજિકપ્રશ્નકર્તા : તમે કહ્યું કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સહજ હોય છે. દાદાશ્રી : સ્ત્રીજાતિને બહુ વિકલ્પ ઊભા ના થાય. સ્ત્રીઓમાં સહજભાવ વધારે હોય. અહંકાર હોય તો વિકલ્પ ઊભા થાય. અહંકાર તો દરેકમાં હોય પણ તે સ્ત્રીઓમાં બહુ ઓછો હોય. મોહ વધારે હોય. શેઠની દુકાને નાદારી નીકળવાની હોય, તોય શેઠાણી છે તે કોઈ ભિક્ષુક (પા.૧૯)આવે તેને સાડલો આપે, બીજું આપે અને આ શેઠ એક દમડી પણ ના આપે. શેઠ બિચારાને મહીં થયા કરે કે હવે શું થશે ? શું થશે ? જ્યારે શેઠાણી તો નિરાંતે સાડી-બાડી આપે, એ સહજ પ્રકૃતિ કહેવાય. મહીં જેવો વિચાર આવ્યો એવું કરી નાખે. શેઠને તો મહીં વિચાર આવે, લાવ બે હજાર રૂપિયા ધર્માદા આપીએ. તો તરત પાછો મનમાં કહેશે, ‘હવે નાદારી નીકળવાની છે, શું આપીએ ? મેલોને છાલ હવે !’ તે ઉડાડી મેલે ! સહજ તો મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે. એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે અને ના પણ માંગે. પણ જો તમે માંગો તો તરત માંગી લેશે. તમે ઉદયકર્મના આધીન નહીં રહેવાના, તમે જાગૃતિના આધીન રહેવાના અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ? તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય. અજ્ઞ સહજ -> અસહજ -> પ્રજ્ઞ સહજપ્રશ્નકર્તા : પહેલો મોક્ષ કોનો થાય ? સહજનો થાય કે અસહજનો થાય ? દાદાશ્રી : પેલા સહજને તો અહીં આવવું પડશે. હજુ આ બફારામાં આવવું પડશે. આ ૧૦૦ ટચના સોનાને શુદ્ધિકરણ (કરવા)નું આ કારખાનું છે. હિન્દુસ્તાન એટલે આખો રાતદહાડો ભઠ્ઠીમાં ! પ્રશ્નકર્તા : એટલે એમ થયું ને કે સહજતામાંથી અસહજતામાં જાય. એ પછી અસહજતા ‘ટોપ’ પર જાય, ત્યાર પછી મોક્ષ તરફ જાય ? દાદાશ્રી : અસહજતામાં ‘ટોપ’ પર જાય, ત્યાર પછી બળતરા પૂરી જુએ-અનુભવે, ત્યારે મોક્ષે જવાનું નક્કી કરે. બુદ્ધિ, આંતરિક બુદ્ધિ ખૂબ વધવી જોઈએ. ફોરેનના લોકોને બાહ્ય બુદ્ધિ હોય, તે એકલું ભૌતિકનું જ દેખાડે. નિયમ કેવો છે, જેમ આંતરિક બુદ્ધિ વધે તેમ બીજા પલ્લામાં બળતરા ઊભી થાય ! પ્રશ્નકર્તા : ‘ટોપ’ પરની અસહજતામાં ગયા પછી સહજતામાં આવવા માટે શું કરે ? (પા.૨૦)દાદાશ્રી : પછી રસ્તો ખોળી કાઢે કે આમાં સુખ નથી. આ સ્ત્રીઓમાં સુખ નથી, છોકરાંમાં સુખ નથી. પૈસામાંય સુખ નથી, એવી એમની ભાવના ફરે ! આ ફોરેનના લોકો તો સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, એવું તો કોઈ બોલે જ નહીં ને ! એ તો (આપણા લોકોને) પેલી બળતરા ઊભી થાય ત્યારે કહે કે હવે અહીંથી ભાગો કે જ્યાં કંઈક મુક્ત થવાની જગ્યા છે. આપણા તીર્થંકરો મુક્ત થયેલા છે ત્યાં હેંડો, આપણને આ ના પોસાય. પ્રશ્નકર્તા : એટલે તે વખતે એમનો ભાવ બદલાવો જોઈએ એમ ? દાદાશ્રી : ભાવ બદલાય નહીં તો ઉકેલ જ ના આવે ! આ દેરાસરમાં જાય, મહારાજ પાસે જાય, એ ભાવ બદલાયા સિવાય તો કોઈ જાય જ નહીં ને ! ઉદયાકાર તે ઊંધી સાહજિકતાપ્રશ્નકર્તા : જ્ઞાન પછી એ સાહજિકતા કેવી હોય એ સમજાવો ને ! દાદાશ્રી : ઉદય આવેલો એટલું જ કરે. પોતાપણું ના રાખે. પેલું અજ્ઞાન સાહજિક પોતાપણા સહિત હોય. પતંગ ચડાવવા ગયો તે સાહજિક. દાદાએ ના કહી, એને નહોતું જવું હોય તોય ગયા... પ્રશ્નકર્તા : એ તો દાદા આજ્ઞાની વિરુદ્ધ ગયો કહેવાય ને ? દાદાશ્રી : વિરુદ્ધ ને વળી સાહજિક કહેવાય પાછું. ભેંસ બનાવે એ સાહજિકતા. પ્રશ્નકર્તા : ભેંસ બનાવે ? દાદાશ્રી : ત્યારે શું થાય તે ? શરીર તો જાડું મળે (!) (પા.૨૧)[3] અસહજનો મૂળ ગુનેગાર કોણ ?પોતે જ્ઞાનમાં તેમ પ્રકૃતિ સહજપ્રશ્નકર્તા : આપની પાસેથી આત્માનું જ્ઞાન લીધું એટલે પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો સહજ થતી જ જાય. પોતે આ જ્ઞાનમાં રહેને તો સહજ છે ! આત્મા સહજ જ છે, આ દેહને સહજ કરવાનો છે. ‘તમે’ અસહજ થશો, ત્યાં સુધી એ અસહજ થશે. ‘તમે’ જો સહજ થઈ જશો, તો એ સહજ છે જ. તમારે સહજ થવાની જ જરૂર છે. જ્ઞાન સહજ ક્રિયાનું આપ્યું છે. આમાં રાગ-દ્વેષ કોને ?પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ ખૂબ રાગ-દ્વેષ કરતી હોય તો એનો નિકાલ કેવી રીતે કરવો ? દાદાશ્રી : સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં. એ તો પૂરણ-ગલન સ્વભાવની છે. આ તો અહંકાર રાગ-દ્વેષ કરે છે. આ એને ગમે છે તેની ઉપર રાગ કરે છે અને નથી ગમતું તો દ્વેષ કરે છે. પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે. શિયાળાને દહાડે ઠંડી હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : હોય. દાદાશ્રી : એ એને ના ગમે તો એને દ્વેષ ચઢે. કેટલાંકને એમાં મઝા આવે. ના આવે ? (પા.૨૨)પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : એવું. પ્રકૃતિ એને શિયાળાને દહાડે ઠંડી લાગે, ઉનાળાને દહાડે ગરમી લાગે. એટલે આ અહંકાર બધું રાગ-દ્વેષ કરે છે. અહંકાર જાય એટલે રાગ-દ્વેષ ગયા. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ ઓટોમેટિક સહજ થયા જ કરે છેને ? દાદાશ્રી : હા, જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જરૂપે રહી. એ ડિસ્ચાર્જ થયા કરે ધીમે ધીમે. ચાર્જ થયેલી છે એ ડિસ્ચાર્જ થયા કરે. જીવતા અહંકાર વગર ડિસ્ચાર્જ થયા જ કરે, એની મેળે જ. એને આપણે ‘વ્યવસ્થિત છે’ કહીએ છીએ. અસહજતા, રાગ-દ્વેષના સ્પંદનથી...પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પ્રકૃતિ રાગ-દ્વેષવાળી નથી પણ અહંકાર રાગ-દ્વેષ કરે છે એ કેવી રીતે ? દાદાશ્રી : પ્રકૃતિ સ્વભાવે સહજ જ છે. જેમ આ પૂતળું હોય, તે ક્યાં સુધી બોલે ને ગાયન ગાય ? જ્યાં સુધી આપણે ચાવી આપીએ ત્યાં સુધી. ચાવી આપવાનું બંધ કરી દે તો ? પ્રશ્નકર્તા : આપણે જે ચાવી આપવાનું છે, એ શું કહેવાય ? દાદાશ્રી : વ્યવહાર આત્માને અજ્ઞાનતાથી સ્પંદન થયા કરે છે. આ ‘મને ગમ્યું ને આ મને ના ગમ્યું, આ મને આમ ને તેમ’, ને એ જે સ્પંદનો થયા કરે છે, તેથી પ્રકૃતિ ઉપર અસર થાય છે. પ્રતિષ્ઠિત આત્મા અસહજ થાય છે. વ્યવહાર આત્મા સહજ થાય, પછી દેહ સહજ થાય. પછી અમારા જેવું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. જ્ઞાન પછી પ્રતિષ્ઠિત આત્મા નિકાલીપ્રશ્નકર્તા : આ પ્રતિષ્ઠિત આત્મા વિષે સમજાવશો ? (પા.૨૩)દાદાશ્રી : જ્ઞાન પછી એક મૂળ આત્મા છે અને આ ડિસ્ચાર્જ અહંકાર છે તે પ્રતિષ્ઠિત આત્મા છે, પહેલાંનો. અજ્ઞાનતામાં અહંકાર જે જીવતો છે તે પ્રતિષ્ઠા કરે છે. ‘હું કરું છું ને મારું છે’ એ ઘટમાળ ચાલ્યા જ કરે છે, નવી પ્રતિષ્ઠા ઊભી કરીને. આપણે છે તે પ્રતિષ્ઠા બંધ કરાવીએ છીએ. એટલે આપણે ચાર્જ થતું બંધ થાય છે. પ્રતિષ્ઠા બંધ થાય એટલે બધું બંધ થઈ ગયું ! નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો. પ્રશ્નકર્તા : નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો અને પછી એ જે વિભાગ રહ્યો, તેને જ આપણે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ગણીએ છીએને ? દાદાશ્રી : હા, અને હવે જે છે એનો નિકાલ કરી નાખીએ. એ નિકાલ થવા માટે જ આવ્યો છે ને નિકાલ કરવાનો છે. ડખલ થયે અસહજપ્રશ્નકર્તા : નિકાલ થવામાં ડખલ કરે છે એ જ નિશ્ચેતન ચેતન ? દાદાશ્રી : એમાં ડખલ કરેને, એ નિશ્ચેતન ચેતન નહીં, એ મડદાલ અહંકાર (વ્યવહાર આત્મા). હા, પણ એમાં ડખલ કરીને એ બગાડે છે. બાકી, એ તો એની મેળે નિકાલ થવા માટે જ આવ્યું છે. પ્રશ્નકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા તરીકે જે જુદો પડ્યો, એની અંદર જો કોઈ પણ પ્રકારની ડખલ ન કરે તો એની મેળે ગલન થઈ જાય ? દાદાશ્રી : હા, એની મેળે સહજ રીતે છૂટે. પ્રશ્નકર્તા : ડખલ કરે તો તેની અંદર ડખો થયા કરે ? દાદાશ્રી : બસ, ડખલ એ પાછલો અહંકાર કરે છે. મડદાલ અહંકાર ડખલ કરે છે. અને તે મડદાલ અહંકારને બુદ્ધિ છે તે પપલાવે છે, બુદ્ધિ હેરાન કરે છે, બસ. નહીં તો સહજભાવે ઊકલ્યે જ જાય છે. પ્રશ્નકર્તા : આ વ્યવહાર આત્મા કોને કહો છો ? દાદાશ્રી : સંસાર એટલે શું કે વ્યવહાર આત્મા ડખોડખલમાં પડ્યો. અને (પા.૨૪)દેહનો સ્વભાવ કેવો છે ? સહજ છે. તે વ્યવહાર આત્મા ડખોડખલ ના કરે, તો દેહ સહજ છે. દેહેય છૂટો અને આત્માય છૂટો. આ ડખોડખલથી બંધાયો છે. એટલે આપણે ડખોડખલ બંધ કરાવીએ છીએ. તું આ (ચંદુભાઈ) નથી, તું આ આત્મા છું. એટલે એ ડખોડખલ બંધ કરી દે. અહંકાર-મમતા ચાલ્યાં ગયાં. હવે ડખોડખલ જેટલી બંધ કરીશ, એટલો તું તે (આત્મા)રૂપ થઈ જઈશ, સહજરૂપ. સહજ એટલે ડખોડખલ નહીં તે ! આ એની મેળે ચાલે છે ને આય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે. વ્યવહાર આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ જતો રહેવાથી, બેનો સાંધો હતો એકાકાર થવાનો, તે દેહાધ્યાસ ઊડી ગયો. એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા. પ્રશ્નકર્તા : ભાવ તો પ્રતિષ્ઠિત આત્મા જ કરે ને, દાદા ? શુદ્ધાત્મા તો કરે જ નહીં ને ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા પણ વસ્તુસ્થિતિમાં ભાવ કરે જ નહીં ને ! શુદ્ધાત્માયે ભાવ કરે નહીં. આ તો ‘હું ચંદુભાઈ છું’ એમ જે માને છે, એ વ્યવહાર આત્મા ભાવ કરે છે. પ્રતિષ્ઠિત આત્મા તો ભાવથી જ ઊભો થયો છે ને ! જો ભાવ ના હોત તો એ પ્રતિષ્ઠિત આત્મા હોત જ નહીં. ‘વ્યવહાર આત્મા’ સહજ, તો દેહ સહજઆત્માની સહજતા તો મૂળ આત્મા તો પોતે સહજ જ છે. આ બહારનું સહજ થાયને તો પોતે સહજ જ છે. બહારનું સહજ થતું નથી ને ! પ્રશ્નકર્તા : આ બરાબર સમજાયું નહીં હજુ. દાદાશ્રી : આત્મા સહજ થાય તો દેહ એની મેળે સહજ થાય, એટલે એ શું કહે છે ? આ વ્યવહાર આત્મા સહજ થાય તો દેહ સહજ જ થઈ જાય, પણ મૂળ આત્મા તો સહજ જ છે. આ વ્યવહાર આત્માની જ ભાંજગડ છે બધી. (પા.૨૫)અસહજ માટે જવાબદાર કોણ ?પ્રશ્નકર્તા : આપે કહ્યું એમ આત્મા યે સહજ છે ને પ્રકૃતિ યે સહજ છે. દાદાશ્રી : ના, એ તો સમકિત થયા પછી. આ મિથ્યાત્વને લઈને પ્રકૃતિ અસહજ થઈ જાય છે. પ્રકૃતિ તો આપણો ફોટો છે. અરીસામાં જુએ તો મોઢું ચઢેલું દેખાય. તે પ્રકૃતિ છે, તો પ્રકૃતિનો દોષ છે ? પ્રશ્નકર્તા : પ્રકૃતિનો જ દોષ. દાદાશ્રી : નહીં, મહીં વ્યવહાર આત્માને સ્થિરતા, સહજતા નથી આવી. વ્યવહાર આત્મા સહજ હોય તો પ્રકૃતિ સહજ થાય, પેલાનું મોઢું ને બધું સારું દેખાય. પ્રશ્નકર્તા : દાદા, એ આત્મા સહજ નહીં થયો, મોઢું ચઢેલું હોય તો એ જે આત્માની આપે વાત કરી, એ પ્રતિષ્ઠિત આત્માને ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા એ વાત ખરી, પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે પેલો વ્યવહાર આત્મા. જ્યાં સુધી આ પ્રતિષ્ઠિત આત્માનું ચલણ છે ને, ત્યાં સુધી પેલો વ્યવહાર આત્માનો જ દોષ ગણાય છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રતિનિધિ જેવો છે. એટલે જવાબદારી છેવટે એને જાય. કોને જાય ? પ્રશ્નકર્તા : મૂળ. દાદાશ્રી : ના. એ (મૂળ) પોતે એવો છે નહીં, પણ એમના પ્રતિનિધિ આવું કરે. એની જવાબદારી કોના માથે ? પ્રશ્નકર્તા : જો દોષ થતો હોય તો પ્રતિષ્ઠિત આત્માનો જ દોષ થાય ને ? દાદાશ્રી : ખરો દોષ પેલા વ્યવહાર આત્માને જાય, પણ મૂળ આત્માને પહોંચે જ નહીં ને ! (પા.૨૬)વ્યવહાર આત્મા પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય ને સ્પંદન બંધ થયાં તો ધીમે ધીમે પ્રકૃતિ સહજતામાં આવશે. બન્ને સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ. સહજતામાં પહેલું કોણ ?પ્રશ્નકર્તા : જ્ઞાન થઈ જાય, એ પછી પ્રકૃતિ સહજ થાય કે પ્રકૃતિ સહજ થાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય, એમાં ક્રમ કયો ? દાદાશ્રી : આપણે આ જ્ઞાન આપીએ છીએને, ત્યારે દ્રષ્ટિ બદલાય જાય ને પછી પ્રકૃતિ સહજ થતી જાય. પછી સંપૂર્ણ સહજ થાય. પ્રકૃતિ બિલકુલ સહજ થાય. એટલે આત્મા તો સહજ છે જ, બસ થઈ ગયું, છૂટું થઈ ગયું. અને પ્રકૃતિ સહજ થઈ એટલે તો બહારનો ભાગ જ ભગવાન થઈ ગયો, અંદરનો તો છે જ. અંદરનો તો બધાંમાં છે. જો પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થઈ જ જાય. અગર આત્મા સહજ થવાનો પ્રયત્ન થાય તો પ્રકૃતિ સહજ થઈ જાય. બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, કે બેઉ સહજ થઈ જાય. આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી ‘અમે’ આત્મા સહજ આપી દઇએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઇએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે છે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે. પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ જેટલી અસહજ હોય... દાદાશ્રી : તેનો સવાલ નહીં. તમે આ પ્રકૃતિ તો મને મળતાં પહેલાંની ભરેલી છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો પોતે આ જ્ઞાનમાં રહે તો સહજ જ થાય. પ્રકૃતિ નિકાલ થયા જ કરે. એની મેળે નિકાલ થઈ જશે અને નવી (પા.૨૭)પ્રકૃતિ મારી હાજરીમાં ભરાઈ રહી છે અને જરાક કો’કની કઠણ હોય તો એકાદ અવતાર વધારે થાય, એકાદ-બે અવતારમાં તો બધું ઊડતું જ થાય, બધું મલ્ટિપ્લિકેશનવાળું આ. પ્રશ્નકર્તા : તમારી દ્રષ્ટિએ તો આ ચોખ્ખું ભરાઇ રહ્યું છે કે નહીં ? અમારી દ્રષ્ટિ તો ફરી, પણ જે નવી પ્રકૃતિ થવાની એ સરખી થવાની કે નહીં ? દાદાશ્રી : હવે શંકા રાખવાનું કોઈ કારણ ના હોયને ! તમે છે તે ચંદુભાઈ થઈ જાવ તો આપણે જાણીએ કે શંકા રખાય. એ તો તમારી શ્રદ્ધામાં છે જ નહીં ને ! જ્ઞાની, પ્રકૃતિથી જુદાપ્રશ્નકર્તા : જ્ઞાન થાય એટલે સમજ આવે પણ પ્રકૃતિ થોડી નાશ થાય છે ? દાદાશ્રી : ના, પ્રકૃતિ કામ કર્યા જ કરે. જ્ઞાનીને પણ પ્રકૃતિ હોય પણ પ્રકૃતિ જુદી હોય જ્ઞાનીથી, જ્ઞાનીથી હન્ડ્રેડ પરસેન્ટ (૧૦૦%) જુદી હોય. એટલે જ્ઞાની શાથી કહેવાય કે સહજ સ્વરૂપ દેહ અને સહજ સ્વરૂપ આત્મા, બન્ને સહજ સ્વરૂપ. ડખલ ના કરે. એ ડખલ કરે એ અસહજતા હોય. પ્રકૃતિમાં, મઠિયાં કે એનો સ્વાદ ?પ્રશ્નકર્તા : દાદા, ત્યાં આપની પ્રકૃતિ કેવી રીતે કામ કરતી હોય ? દાદાશ્રી : અમારી પ્રકૃતિ મઠિયાં ખાય છે, તે આ બધા મહાત્માઓ જાણી ગયેલા. તે અમેરિકામાં બધે જઈએ તે મારા માટે મઠિયાં બનાવી રાખે. પણ આ વર્ષમાં બે જ જણને ત્યાં ખાધા છે, બસ. માફક આવે તે પ્રકૃતિ. બધાયને ત્યાં માફક નહીં આવ્યું. એ જરાક ખઈને પછી હું રહેવા દઉં. એટલે કોઈ એમ કહે કે મઠિયાં એમને ફાવશે તો વાત માન્યામાં ના આવે. મઠિયામાં રહેલો સ્વાદ એ મારી પ્રકૃતિમાં છે. નીરુમા : દાદા, પાછું આ કેવું છે કે આપણી પ્રકૃતિને અત્યારે ભાવ્યું (પા.૨૮)પછી પાછું મહિના પછી નાય ભાવે, બદલાઈ જાય. દાદાશ્રી : ત્રણ જ દહાડામાં ફેરફાર થાય, દિવસમાં ફેરફાર થાય. આજે ઢેબરાં ભાવે ને કાલે ના ભાવે. નીરુમા : નાય ભાવે. દાદાશ્રી : તમે ક્યારેય સ્ટડી કર્યો એનો ? નીરુમા : દાદાનું જોઉં એટલે સ્ટડી થાય. સહજ પ્રકૃતિ કેવી રીતે કામ કરતી હોય છે એ દાદાનું જોઈએ ત્યારે જ ખબર પડે. દાદાશ્રી : નાસ્તો આવે તો જોઈ જોઈને લે, પણ આમાં શું જુદું હોય ? ત્યારે કહે, શેની પર મરચું વધારે પડ્યું છે ? એનું નામ પ્રકૃતિ. પ્રકૃતિ રચનાર કોણ ?કઈ જાતની પ્રકૃતિ ના હોય ? પ્રકૃતિ જાતજાતની હોય. ધોધ પડે ત્યારે પરપોટા કોણ બનાવતું હશે ? કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, તે પ્રકૃતિ બંધાય પછી. તે કેટલાક મોટા થઈને અહીં ને અહીં ફૂટી જાય, કેટલાક ક્યાંય સુધી ચાલે એવી રીતે પ્રકૃતિ બધી બંધાય છે. સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ અનુસાર સંસાર ચાલે. આ પ્રકૃતિ છે, તેને તમે જોયા કરો તો જરાય વાંધો નહીં. તમારી જવાબદારીનો વાંધો નથી. તમારી જોવાની ઇચ્છા હોવી જોઈએ અને છતાં નથી જોવામાં આવતું, પછી તમારી જવાબદારી નથી. પ્રકૃતિ સંપૂર્ણ પ્રકારે જાણે ત્યારે ભગવાન થાય. પ્રકૃતિમય ના થાય એટલે જાણે, નહીં તો પ્રકૃતિમય થાય એટલે જાણે નહીં, ત્યારથી બંધ. જો પ્રકૃતિ એને સમજણ પડી જાય તો છૂટો થાય. જુદો રહીને જુએ તો સાહજિકપ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે કે પ્રકૃતિ અને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ એનું નામ સાહજિકતા. (પા.૨૯)દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : એટલે આ વચ્ચેની એટલે શું ? દાદાશ્રી : ઈમોશનલ થાય છે તે પ્રકૃતિ ઈમોશનલ નથી, ‘પોતે’ મહીં ભેગો થઈ જાય એટલે ઈમોશનલ થઈ જાય. પ્રશ્નકર્તા : પોતે એટલે તો અહમ્ ભળે છે પ્રકૃતિમાં એટલે આ... દાદાશ્રી : ભળે છે એટલે ચંચળતા ઉત્પન્ન થઈ. પ્રશ્નકર્તા : એટલે આ પોતાની ચંચળતા જવી જોઈએ ? દાદાશ્રી : હવે જુદા રહીને જુએ એટલે સાહજિક રહે. ઈફેક્ટને આધાર, ત્યાં કૉઝપ્રશ્નકર્તા : અહમ્ કેવી રીતે ભળે છે ? દાદાશ્રી : પ્રકૃતિમાં ‘ઈફેક્ટ’ તો એની મેળે થયા જ કરે છે પણ પોતે અંદર ‘કૉઝિઝ’ કરે છે, આધાર આપે છે કે ‘મેં કર્યું, હું બોલ્યો.’ ખરી રીતે ‘ઈફેક્ટ’માં કોઈને કરવાની જરૂર જ નથી. ‘ઈફેક્ટ’ એની મેળે સહજભાવે થયા જ કરે છે, પણ આપણે તેને ટેકો આપીએ છીએ કે ‘હું કરું છું’, એ ભ્રાંતિ છે, અને એ જ ‘કૉઝિઝ’ છે. પ્રશ્નકર્તા : એ ‘કૉઝ’નું ‘કૉઝ’ શું છે ? દાદાશ્રી : અજ્ઞાનતા. ‘રૂટ કૉઝ’ અજ્ઞાનતા છે. ‘જ્ઞાની પુરુષ’ અજ્ઞાનતા દૂર કરે. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યે, બને સહજસહજ પ્રકૃતિ એટલે જેવું વીંટ્યું હોય એવું જ બસ ફર્યા કરે, બીજી કશી ભાંજગડ નહીં. જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ (પા.૩૦)એ સહજ થાય ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. ‘આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.’ એમ ડખલ કરવા જાય કે અસહજ થાય. શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, ‘તું જોશથી કર’, એમેય નહીં કહેવાનું અને ‘ના કરીશ’ એમેય નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, તો ‘વ્યવસ્થિત’. ખેંચ-ચીડ-રાગ, બનાવે અસહજબેઉ રમણતા ચાલ્યા કરે, એનું નામ સહજતા. અને મહીં ખેંચ ખેંચ કરે કે આ ના જ થાય અને ખેંચ કરે એટલે આ મહીં ખેંચવું, બ્રેક મારી કે આપણાથી આ ના થાય, એટલે થઈ ગયું અસહજ બધું. ત્યાં ખેંચ ના કરે તો રાગે પડી ગયું, કામ થઈ ગયું. હવે આય કંઈ એવું નથી કે આની જરૂર છે, એવું કશું નહીં. આ તો સહજ થવા પૂરતું. કહે છે, કેમ અસહજ હતા ? ત્યારે કહે, ‘આની ચીડ હતી.’ આવું થતું હશે ? તેની ચીડ પેસી ગઈ. એ ચીડ કાઢ્યા વગર સહજ ના થાય અને રાગેય કાઢ્યા વગર સહજ ના થાય. ‘જોનારા’ને નથી, ખરાબ-સારુંદેહ દાંતિયા કરતો હોય ને તેને પેલા જુએ, આત્મા જાણે, તો બેઉ સહજ કહેવાય. એ દાંતિયા કરવા ગેરકાયદેસર નથી આ. ગેરકાયદેસર હોય તો લોકો વાંધો કરે ને ? પણ તેનાથી છૂટો રહે. એને એમ ના થતું હોય કે હું કરું છું આ. પ્રશ્નકર્તા : દેહ કરે છે, હું નથી કરતો. દાદાશ્રી : દેહ કરે છે. ખરાબ અગર ખોટું હોતું નથી, ત્યાં સહજ આગળ. જોનારને ખરાબ-ખોટું હોતું નથી, કરનારને હોય છે. જેને બુદ્ધિ છે ત્યાં સુધી ખરાબ છે. જોનાર થયો એટલે જ્ઞાની થયો, એને ખરાબ-ખોટું હોતું નથી. એટલે આ કષાયો વિદાયગીરી લે છે. ‘ચંદુ’ ઉદયમાં, ‘પોતે’ જાણપણામાંપ્રશ્નકર્તા : બહારના ઉદયો હોય, એમાં પોતાનો અહંકાર ભળી જાય (પા.૩૧)છે એટલે એને એક્સેપ્ટ કરી લે છે. તો એવું ના થવું જોઈએને ? એ જુદું જ રહેવું જોઈએને ? બહારના ઉદયમાં એ એકાકાર થઈ જાય તો ? દાદાશ્રી : એકાકાર થઈ જાય તેમાં આપણે શું ? એકાકાર તો એનો સ્વભાવ છે. પ્રશ્નકર્તા : અહમ્ છે તો એકાકાર થવાનો જ સંયોગોમાં. દાદાશ્રી : હા, બસ. એ થાય, પણ ત્યારે એ જોવાનું, જો એને જુએ નહીં તો માર પડે. આમ કરતું કરતું કરતું પછી છૂટું થઈ જવાનું. પછી તમારે જેવું આ જ્ઞાન છે એવું જ આ બાજુનું રહેશે, જોવાનો અભ્યાસ હશે તો. નહીં તો વાર લાગશે. પ્રશ્નકર્તા : દાદા, હવે મોડું નથી કરવું. દાદાશ્રી : એમ નહીં, એ તો કાયદા તો છે જ ને. જોવાનો અભ્યાસ હોય તો પેલું નરમ થતું જાય. જે ઉદય સ્વરૂપ હોય તેમાં ડખલ કરશો નહીં. તે ઉદયને જાણો, આપણું જ્ઞાન એવું કહે છે. એટલે જે ઉદય હોય તેમાં જ ચંદુભાઈ તન્મયાકાર રહે, ‘તમારે’ જાણવાનું. તેને જે ઉદય હોય, તેમાં આઘુપાછું કરવાની જરૂર નથી. ઉદય શેનો આવશે ? કે જેનું પૂરણ કર્યુ છે, તેનું ગલન થયા કરશે. આ નવું પૂરણ થવાનું નથી. માટે જૂનું જે પૂરણ કરેલું છે, તે ગલન થયા કરશે. તેને જે ઉદયમાં આવે તે ઉદયમાં રહો. ચંદુભાઈ છે તે ઉદયમાં રહે અને ‘તમારે’ એને જોયા કરવાનું, આટલું જ કામ. ‘તમે’ એને જોયા કરો એટલે આત્મા સહજ થયો. ચંદુભાઈ ઉદયમાં રહે એટલે દેહ સહજ થઈ ગયો, પુદ્ગલ સહજ થઈ ગયું કહેવાય. હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું’ કહે કે ડખો થયો. પુરુષાર્થ, તપ સહિતપ્રશ્નકર્તા : આપે પેલી પુરુષાર્થની વાત સુંદર કહી કે વ્યવસ્થિતના (પા.૩૨)ઉદયને હિસાબે મહીં તન્મયાકાર થઈ જવાય પણ તે વખતે પોતે છે તે એમાં ભળે નહીં અને એમાં એ વખતે પુરુષાર્થમાં રહે, ભળવા ના દે. દાદાશ્રી : પુરુષાર્થમાં રહે તેને કશો વાંધો નહીં. એ જ પુરુષાર્થ કહેવાય ને ! પ્રકૃતિ તો હંમેશાં ઉદયમાં તન્મયાકાર જ થવાની એટલે એને શાંતિ થાય. અને પુરુષાર્થ ભળવા ના દે એટલે પેલી પ્રકૃતિને અકળામણ થાય એટલે બળે. પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને એવું બને ખરું કે જ્યારે પેલો સંપૂર્ણ છૂટો પડી ગયો હોય, બિલકુલ ભળે નહીં, તો પછી પેલી બળતરાઓ બંધ થઈ જાય ? દાદાશ્રી : હા, થઈ જ જાયને. બળતરા બિલકુલેય હોય નહીં ને ! બળતરા તો મહીં કચરો છે, ત્યાં સુધી બળતરા છે. બળતરા મટી જશે પછી ખરી સાહજિકતા ઉત્પન્ન થઈ જશે. બળતરાવાળાને જ સાહજિકતા હોય નહીં, આનંદ-મઝા ના હોય એને. જાણ્યું, માટે પહોંચાશે જપ્રશ્નકર્તા : અમારે તો પ્રકૃતિમાં ડખોડખલ થઈ જાય છે, તો અમારી પ્રકૃતિ સહજ ક્યારે થશે ? દાદાશ્રી : હજુ જેટલી ડખલ થાય છે, એટલી અસહજતા બંધ કરવી પડશે. એવું તમે જાણો છો હઉ પાછાં. અસહજ થાવ છો તેય જાણો છો. અસહજતા બંધ કરવાની છે તેય જાણો છો. કેવી રીતે બંધ થાય તેય જાણો છો. બધું જ જાણો છો તમે. પ્રશ્નકર્તા : છતાંય કરી શકતાં નથી. દાદાશ્રી : એ ધીમે ધીમે થાય, એ એકદમ ના થાય આ. આ દાઢી કરવાના સેફ્ટી રેઝર આવે છે ને, એવું આમ કરે ને થઈ ગયું ? થોડીવાર લાગે. એ દરેકને થોડો ટાઈમ લે. આમ કરે તો થઈ જાય, સેફ્ટી માટે ? પ્રશ્નકર્તા : કપાઈ જાય. (પા.૩૩)દાદાશ્રી : દરેકને ટાઈમ લાગે. ડીકંટ્રોલ્ડ પ્રકૃતિ સામે...પ્રશ્નકર્તા : કંટ્રોલ વગરની પ્રકૃતિ હોય તો ? દાદાશ્રી : પણ એ તો એની મેળે કંટ્રોલ વગરની પ્રકૃતિ જ એને ફળ આપી દે, સીધું જ. એને આપણે શીખવાડવા જવું પડે નહીં. એટલે કંટ્રોલવાળી પ્રકૃતિ હોય તો પેલાને સુખ જ પડે અને કંટ્રોલ વગરની હોય તો એની મેળે, એનું ફળ ત્યાં ને ત્યાં મળી જ જાય. પોલીસવાળા જોડે કંટ્રોલ વગરની પ્રકૃતિ કરી જોજે, ફળ ત્યાં ને ત્યાં જ મળી જાય. જ્યાં જુએ ત્યાં, ઘરમાં હઉ, બધેય. એટલે કંટ્રોલ વગરની પ્રકૃતિ હોય, તેને ત્યાં ને ત્યાં ફળ મળી જાય એની મેળે, મહીં જ ફળ મળી જાય. એ રહે જ નહીં. દોડધામ કરતાં હોય, કંટ્રોલ વગરની. તે છેવટે ઠોકર વાગીનેય ઠેકાણે આવી જાય. પ્રશ્નકર્તા : કંટ્રોલ હોય તો સારું કે નહીં ? દાદાશ્રી : કંટ્રોલ હોય તો ઉત્તમ કહેવાય. કંટ્રોલ વગર તો એને પોતાને માર પડે જ. કંટ્રોલ હોય તેના જેવું એકુંય નહીં અને જ્ઞાનના આધારે પ્રકૃતિ કંટ્રોલમાં રહે. પ્રશ્નકર્તા : જ્ઞાનથી કંટ્રોલ રહેવો એટલે સહજ રીતે, એમ ? દાદાશ્રી : સહજ શબ્દ જ ના હોય ને ! પુરુષાર્થથી રહે. સહજથી રહેતું હોય, તેને પછી આગળ કશું કરવાનું રહે જ નહીં ને ! ખલાસ થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં હોય જ છે. કંટ્રોલ કરવાની તમારે જરૂર નથી. ‘તમે’ સહજભાવમાં આવ્યા તો પ્રકૃતિ તો સહજભાવમાં છે જ. પ્રકૃતિનો સહજભાવ એટલે ‘જેમ છે તેમ’ બહાર પડી જવું તે. પ્રકૃતિ ઓગળે ‘સામાયિક’માંતમે શુદ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજિક થઈ. સાહજિક એ તો ડખોડખલ (પા.૩૪)કરવા દે એવી હોય નહીં અને સાહજિક થઈ એટલે એ વ્યવસ્થિત છે. એટલે અમે તમને એમ ના કહીએ કે તને ખરાબ વિચાર આવ્યો તો તું ઝેર પી. હવે તો ખરાબ વિચાર આવ્યો તો ખરાબને જાણ્યો ને સારો વિચાર આવ્યો તો સારાને જાણ્યો. પણ આ બધું હવે ઓગળે શી રીતે ? કેટલુંક કંટ્રોલમાં ના આવે એવું, તમે કહો છોને તે ના ઓગળે એવી વસ્તુ છે. તેનો આપણે રસ્તો કરવો પડે. અમુક કલાક બેસી જ્ઞાતા-જ્ઞેયના સંબંધથી એ ઓગળે. જે પ્રકૃતિ ઓગાળવી હોય તે આવી રીતે ઓગળે. એટલે એક કલાક બેસી અને પોતે જ્ઞાતા થઈ પેલી વસ્તુને જ્ઞેયરૂપે જુઓ. એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓગળ્યા કરે. એટલે બધી પ્રકૃતિ અહીં ખલાસ થાય એવી છે. વિફરેલી પ્રકૃતિ, સહજ થયે...પ્રશ્નકર્તા : દાદાએ એમ કહ્યું છે કે વિફરેલી પ્રકૃતિ સહજ થાય ત્યારે શક્તિ વધવા માંડે છે. દાદાશ્રી : હા, ખૂબ શક્તિ વધે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે બને ? દાદાશ્રી : વિફરેલી પ્રકૃતિ જો સહજ થાયને, તો શક્તિ એકદમ જ ઉત્પન્ન થાય, ખૂબ ખેંચે બહારથી બધી શક્તિઓને. હોટ (ગરમ) લોખંડ હોયને, તે હોટ લોખંડના ગોળા ઉપર પાણી રેડે તો શું થાય ? બધું પી જાય, નીચે ના પડવા દે, એક ટીપુંય. તેવી રીતે આ પ્રકૃતિ એવી વિફરેલી હોયને તે હોટ ગોળા જેવી થઈ ગયેલી હોય. પછી જેમ ઠંડી પડતી જાયને, તેમ એનામાં શક્તિ વધતી જાય. સહજ જીવન કેવું હોય ?હવે સહજ જીવન જીવાય છે ખરું ? કો’ક ગાળ ભાંડે તે વખતે સહજ રહે છે ? પ્રશ્નકર્તા : ગુસ્સો માનસિક રહે, બહાર ના આવે. દાદાશ્રી : એ સહજ જીવન જ ના કહેવાય. સહજ જીવનમાં તો ગાળ (પા.૩૫)ભાંડે તોય સહજ રહે. ગજવું કાપી લે તોય સહજ રહે. સહજ જીવન એટલે ભગવાન થવાનું હોય ત્યારે સહજ જીવન હોય. સંપૂર્ણ સહજ, ત્યાં થયા ભગવાનપ્રશ્નકર્તા : પ્રકૃતિ સંપૂર્ણ સહજ થાય એટલે બહારનો ભાગ પણ ભગવાન જેવો દેખાય ? દાદાશ્રી : હા, ક્ષમા એવી દેખાય, નમ્રતા એવી દેખાય, સરળતા એવી દેખાય, સંતોષ એવો દેખાય. કોઈ ચીજની ઈફેક્ટ જ નહીં. પોતાપણું ના હોય. એ બધું લોકોનાં દેખવામાં આવે. બધા બહુ ગુણો ઉત્પન્ન થઈ જાય. એ આત્માના ગુણ નથી ને આ પુદ્ગલનાય ગુણ નથી એવાં ગુણ ઉત્પન્ન થઈ જાય. ક્ષમા તો આત્માનોય ગુણ નથી ને પુદ્ગલનો ગુણ નથી. પેલો ગુસ્સો કરે, તે અમે ક્ષમા કરતાં નથી પણ આમ સહજ ક્ષમા જ હોય. પણ પેલાને એમ લાગે કે ક્ષમા કરી એમણે. એટલે અહીં પૃથક્કરણ થઈને અમને સમજાય કે મારે આમાં લેવાદેવા નથી ને ! પ્રશ્નકર્તા : એ ક્ષમા માટે થયું, એવું સરળતા માટે કેવું હોય ? દાદાશ્રી : હા, સરળતા તો હોયને ! સામાની દશા અવળી હોય તોય સરળને એ સીધું જ દેખાય. કેવી સરળતા છે ! નમ્રતા !! આમાં કશું છે નહીં આત્માનું. પ્રશ્નકર્તા : એટલે પોતાનામાં ક્રોધ-માન-માયા-લોભ ઊડે છે એટલા માટે આવાં ગુણ પ્રગટ થાય છે ? દાદાશ્રી : લોભને બદલે સંતોષ થાય એટલે લોક કહે, જુઓને, કશું જોઈતું જ નથી. જે હોય એ ચાલે. એવાં ગુણો ઉત્પન્ન થાય ત્યારે ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : લોકોને સરળતા, ક્ષમા દેખાય ત્યારે પોતે શેમાં હોય છે ? (પા.૩૬)દાદાશ્રી : પોતે મૂળ સ્વરૂપમાં હોય, લોકો આવું કહે, પુદ્ગલ આવું દેખાય એટલે. પુદ્ગલનું વર્તન આવું દેખાય એટલે લોક કહે, ઓહોહો ! કેવી ક્ષમા રાખે છે ! આ જુઓને, અમે ગાળો ભાંડી પણ કશું એમનાં મોઢાં પર અસર જ નથી. કેટલી ક્ષમા રાખે છે ! પછી પાછાં કહેવતેય બોલે, ક્ષમા વીરસ્ય ભૂષણમ્. અલ્યા ન્હોય, વીરેય ન્હોય, ક્ષમાયે ન્હોય, આ તો ભગવાન છે એ તો. પાછાં બોલે, ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. અલ્યા મૂઆ, આ ક્ષમા નહીં, પેલી સહજ ક્ષમા. ક્ષમા જે સુધારે છે એવું કોઈ સુધારતું નથી. ક્ષમાથી જે માણસો સુધરે એવું કશાથી સુધરતું નથી. મારવાથીય સુધરતું નથી. એ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ કહેવાય. (પા.૩૭)[4] આજ્ઞાનો પુરુષાર્થ બનાવે સહજહવે આજ્ઞા પાલન સહજ થવા અર્થેપ્રશ્નકર્તા : મન-વચન-કાયાની સહજતા અને આત્માની સહજતા એ વિશે જરા સમજાવોને. દાદાશ્રી : આત્મા સહજ છે જ. જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્મા જે લક્ષમાં આવે છેને, એની મેળે જ લક્ષમાં આવે. આપણે યાદ ના કરવું પડે. જેને યાદ કરીએ એ વસ્તુ ભૂલી જવાય. આ નિરંતર લક્ષ રહે. એ સહજ આત્મા થયો કહેવાય. હવે મન-વચન-કાયા સહજ કરવા માટે એક જ્ઞાની પુરુષની આજ્ઞા જેમ જેમ પાળતા જાય, તેમ તેમ મન-વચન-કાયા સહજ થતાં જાય. પ્રશ્નકર્તા : એમાં સહજ ભાવે નિકાલ કરવો એમ આપ કહો છો તો સહજ ભાવ કેળવવાની રીત કઈ છે ? દાદાશ્રી : સહજ ભાવ એટલે શું ? આ જ્ઞાન મળ્યા પછી તમે શુદ્ધાત્મા થયા એટલે તમે સહજ ભાવમાં જ છો. કારણ કે અહંકાર હાજર ના હોય ત્યારે સહજ ભાવ જ હોય. અહંકારની એબ્સન્સ (ગેરહાજરી) એ સહજ ભાવ. આ જ્ઞાન લીધું એટલે તમારો અહંકાર એબ્સન્ટ છે. તમે જે ‘હું ચંદુભાઈ છું’ માનતા હતા, હવે માનતા નથી ને ? થઈ રહ્યું ! ‘મેં વકીલાત કરી ને મેં છોડાવ્યો ને મેં એને આમ કર્યું !’ ‘હું સંડાસ જઈ આવ્યો’, કહેશે. ‘ઓહોહો ! કાલે કેમ નહોતા ગયાં ?’ ત્યારે કહે, ‘કાલે તો ડૉક્ટરને બોલાવવો પડ્યો, અટક્યું’તું મહીં.’ (પા.૩૮)અહંકારને લઈને સક્રિયતા છે. અહંકારને લઈને બધું બગડી ગયું છે. એ અહંકાર દૂર થઈ જાય એટલે બધું રેગ્યુલર થઈ જાય, સાહજિક થાય પછી. અહંકાર બધું બગાડે છે, પોતાનું જ બગાડે છે અને સાહજિકતા હોય તો બધું સુંદર હોય. તેથી આ અમે તમને આજ્ઞા આપી છે ને, તે સહજ જ કરનારી ચીજ છે. એ સહજ જ બનાવનારી છે. સહજાસહજ બધું પતી જાય એવું છે એનું. સમાધિ સાથે જ હોય એવું છે, ગમે તેવી મુશ્કેલીમાં. જુઓને, આ કેવી મુશ્કેલી આવી છે ! આમ કેન્સર થયું છે ને ફલાણું થયું છે ને ગૂંચવ ગૂંચવ કરે છે, નહીં ? અરે, થયું છે તો એને થયું છે, મને શું થયું છે તેમાં ? આપણે જાણ્યું કે પાડોશી ગભરાયા છે. કોઈ પાડોશી માટે કંઈ બહુ રડે નહીં, નહીં ? હમણાં આ જોડેવાળા શેઠ છે, તે એમને કંઈ દુઃખ આવે તો આપણે રડવા લાગીએ ? એમને જઈને કહીએ કે ભઈ, અમે છીએ તમારી જોડે, તમે ગભરાશો નહીં. સહજ દશાની લિમિટપ્રશ્નકર્તા : સહજતાની લિમિટ કેટલી ? દાદાશ્રી : નિરંતર સહજતા જ રહે. સહજતા રહે પણ જેટલી આજ્ઞા પાળો એટલી રહે. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ, એટલું મુખ્ય વસ્તુ છે. અમે શું કહ્યું છે કે જો આજ્ઞા પાળો તો કાયમ સમાધિ રહેશે. ગાળો ભાંડે, મારે તોય પણ સમાધિ જાય નહીં એવી સમાધિ. સવારના પહોરમાં નક્કી જ કરવાનું કે દાદા, આપની આજ્ઞામાં જ રહેવાય એવી શક્તિ આપો. એ નક્કી કર્યું પછી ધીમે ધીમે વધતું જાય. પ્રશ્નકર્તા : શરૂઆતમાં જ્ઞાન લીધા પછી એ પ્રમાણે કરતાં કરતાં જઈએ ને ભાવ આપણો પાકો થતો જાય જેમ, એમ એમ પછી વધારે ને વધારે આજ્ઞામાં રહેવાય છે. દાદાશ્રી : વધારે ને વધારે જ રહેવાય. આપણા જ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં ચૌદ વર્ષનો કોર્સ છે, સામાન્ય રીતે. તે પાછા બહુ કાચા હોયને તેને (પા.૩૯)વધુ થાય ને બહુ પાકા હોય તેને અગિયાર વર્ષમાં થઈ જાય, નિષ્ઠા વધે એમ. પણ ચૌદ વર્ષે સહજ થઈ જાય. મન-વચન-કાયા પણ સહજ થઈ જાય. ‘ડખોડખલ નહીં કરું તેવી શક્તિ આપો’ એવું ચરણવિધિમાં બોલે રોજ, એટલે એ કામ સારું આપે લોકોને. અને ડખોડખલ ના કરવી એ જાણતો જ ના હોય તો ડખોડખલ થઈ જાય વારેઘડીએ અને પછી પસ્તામણ (પસ્તાવો) થાય. એ શેના જેવું ? ‘કલ્યાણ હો’ એવું ભાવ બોલ્યા હોય આપણે તો પેલું અસર કરે. અને એવું કશું ના બોલ્યા હોય તો પેલી અસર ના કરે. એટલે અવળાં પરિણામ આવે. બરોબર, સારાં ના આવે. શુદ્ધ ઉપયોગથી થાય સહજઆ ચંદુભાઈ જુદા અને તમે શુદ્ધાત્મા જુદા છો, એ જાગૃતિ રહેવી જોઈએ. પછી છે તે સામો માણસ ઊંધું બોલે, અવળું બોલે તો એ શુદ્ધ આત્મા છે એ આપણને લક્ષમાંથી ના જવું જોઈએ. કારણ કે બોલે છે, એ આપણું ઉદયકર્મ બોલે છે. અને તે ઉદયકર્મને સામસામે લેણ-દેણ છે. એટલે પુદ્ગલની લેવાદેવા છે. એ કંઈ એના શુદ્ધાત્મામાં ફેર નથી થતો. એટલે શુદ્ધ ઉપયોગ પોતે રાખવો. એ સામાને પણ શુદ્ધ જુએ, તે શુદ્ધ ઉપયોગ રાખ્યો કહેવાય. પોતે એવરીવેઅર (બધે જ) શુદ્ધ જોયું, એનું નામ શુદ્ધ ઉપયોગ અને એનું નામ સમત્વ યોગ કહેવાય. સમત્વ યોગ એને પ્રત્યક્ષ મોક્ષ કહે છે. અમને નિરંતર સમત્વ યોગ રહે. ડખોડખલ જોવામાં આવે તોય સમત્વ યોગ રહે. હાથ ઊંચા-નીચા કરે તો વાંધો નહીં, એ વાંકો થાય તોય વાંધો નહીં, ના કરે તોય વાંધો નહીં. પણ જે પોતે બુદ્ધિથી એમ કહે છે કે મારાથી આમ ન થાય, એ ત્યાં આગળ અહંકાર આવે છે. સહજ થવાનું છે. શુદ્ધાત્મા થઈને વર્તો વ્યવહારમાંકોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડાપ્રધાન છું, ના ભૂલેને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને તો ‘હું વડાપ્રધાન છુ’ એવું સમજીને (પા.૪૦)જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયાને તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ. સમજી જાવ. કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે. તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને પણ એ એમની વડાપ્રધાન તરીકેની ફરજ બજાવે, એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ‘ચંદુભાઈ છું’ એ ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોયને ? શુદ્ધ સ્વરૂપે જોવાથી, પ્રકૃતિ થાય સહજપ્રશ્નકર્તા : બીજાની સાથે જો એડજસ્ટ થવું હોય તો પછી એનામાં શુદ્ધાત્મા જ જોવો જોઈએને ? જો શુદ્ધાત્મા જોઈએ તો જ એડજસ્ટ થઈ શકાયને ? દાદાશ્રી : હા, તે બીજું શું ? આ આજ્ઞા પાળે એ એડજસ્ટ જ થઈ જાય. આજ્ઞા પાળો ને શુદ્ધાત્મા જુઓ, એની ફાઈલનેય જુઓ. રિલેટિવને અને રિયલને, બન્ને જુઓ. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને સામાની પ્રકૃતિ સાથે એડજસ્ટ કરાવવી એને બદલે હવે જો ‘હું શુદ્ધાત્મા છું’ અને સામાને જો શુદ્ધાત્મા જોઉં તો પ્રકૃતિ એની મેળે એડજસ્ટ થઈ જાય ? દાદાશ્રી : થઈ જ જાય. ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે, નહીં તો એવું સરસ-સહજ ભાવમાં આવી જાય. આ અસહજ પોતે થયોને એટલે પેલી પ્રકૃતિ કૂદ્યા કરે. પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન લીધું છે એની પ્રકૃતિ સહજ થાય, પણ સામાએ ના લીધું હોય એની સહજ થોડી થાય છે ? દાદાશ્રી : પણ જ્ઞાનવાળો બીજાની પ્રકૃતિ જોડે સહજ રીતે કામ કરી શકે, પેલો મડદાલ અહંકાર વચ્ચે મહીં ગોદો ન મારે તો. પ્રશ્નકર્તા : બે માણસો સામસામા હોય, એકે દાદાનું જ્ઞાન લીધેલું છે (પા.૪૧)એટલે એ પોતાની પ્રકૃતિ સહજ કરતો જાય છે, આ પ્રમાણે જ્ઞાનમાં રહીને, પાંચ આજ્ઞા પાળીને, પણ સામો માણસ જે છે, જેણે દાદાનું જ્ઞાન નથી લીધું, તે એની પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ? દાદાશ્રી : ના, એને કશું લેવાદેવા નહીં. પ્રશ્નકર્તા : હવે એની પ્રકૃતિ સહજ ના થાય, પણ આપણને વાંધો ના આવે ? દાદાશ્રી : આપણે તો આ જે પાંચ આજ્ઞા છે ને, એ તમારી સેફસાઈડ છે બધી રીતે. એમાં તમે રહોને, તો કોઈ તમને હેરાન નહીં કરે, વાઘ-સિંહ કશુંય. વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ, તેટલો વખત એ એનો પાશવી ધર્મ, પશુયોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, પછી કશું કરે નહીં. પ્રશ્નકર્તા : એટલે સામામાં શુદ્ધાત્મા જોવાથી એનામાં કોઈ પરિવર્તન આવતું હશે ? દાદાશ્રી : ઓફકોર્સ (ચોક્કસ), તેથી જ હું કહું છું કે ઘરના માણસોને ‘શુદ્ધાત્મા’ તરીકે જુઓ. કોઈ દહાડો જોયા જ નથીને ! તમે ઘરમાં પેસતા છે તે મોટા છોકરાને જુઓ તો તમને આમ દ્રષ્ટિમાં કશું ના હોય. દ્રષ્ટિમાં કેમ છો, કેમ નહીં, બધું કરો પણ અંદરખાને કહે, સાલો નાલાયક છે. એવું જુઓ તો એની અસર થાય. જો શુદ્ધાત્મા જોયા તો એની અસર થાય. આ જગત નરી અસરવાળું છે. એ એટલું બધું ઇફેક્ટિવ છે કે ન પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તે અમે એવું જ કરીએ છીએ, અસર મૂકીએ છીએ, વિટામીન મૂકીએ છીએ. તે એટલી શક્તિ ઉત્પન્ન થઈ, નહીં તો શક્તિ કેમ કરીને થાય તે ? હું અનંત અવતારની કમાણી લઈને આવ્યો છું અને તમે એમ ને એમ રસ્તે હેંડતા આવ્યા. પ્રશ્નકર્તા : તમે કહેલું કે અમે શુદ્ધાત્માને શુદ્ધાત્મા તરીકે જોઈએ. મહીં આ શુદ્ધાત્મા તો નિર્દોષ છે જ... (પા.૪૨)દાદાશ્રી : એ તો ભગવાન જ છે. પ્રશ્નકર્તા : પણ અમને એની પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય છે. દાદાશ્રી : હા, તે પ્રકૃતિ નિર્દોષ દેખાવી જોઈએ. પ્રશ્નકર્તા : એ છેલ્લે પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય, બન્ને નિર્દોષ દેખાય ત્યારે સહજતા આવી રહે ? દાદાશ્રી : હા, વળી આપણો માર્ગ તો ત્યાં સુધીનો, કે તમને કપટ હોય તેય જુઓ, કહે છે. અને ક્રમિક માર્ગમાં કપટ ચાલે જ નહીંને ! અહંકાર જ બિલકુલ શુદ્ધ કરતાં કરતાં રહેવાનું, ત્યાં ચાલે નહીં. એટલે એમ કરતાં કરતાં બે-ત્રણ અવતારેય પૂરું થાય તોય બહુ થઈ ગયું ને ! અરે, દસ અવતારે થશે તોય શું ખોટ જવાની ? પણ દોષિત નથી કોઈ. ‘વ્યવસ્થિત’ સમજે, તો થાય સહજ‘જ્ઞાન’ પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ? પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળોય દઇ દઉં આ રેલ્વેવાળાઓને. દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ ‘વ્યવસ્થિત’ છે. ‘‘અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઇ બાપોય રચનાર નથી અને તે ‘વ્યવસ્થિત’ છે.’’ આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે. તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તે જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રિલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે. (પા.૪૩)આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો-અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તોય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે ! એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ? ગાર્ડને પહોંચવાની છે ? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે. જ્ઞાન હોય તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ, એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજેય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તોય વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો ‘વ્યવસ્થિત’ છે અને રડીનેય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ? પ્રશ્નકર્તા : એવું બધું ગોઠવાયેલું વ્યવસ્થિત સમજીએ તો પછી કશું કરવાનું રહ્યું જ નહીં ને ? દાદાશ્રી : આ જ્ઞાન દુરુપયોગ કરે તો ડખલ કર્યા વગર રહે નહીં એ ! એટલે ડખોડખલ નહીં કરવાની. સહજ ભાવે રહેવાનું. અમે રહીએ છીએને સહજ ભાવે ! ‘મારે’ ‘પટેલ’ને કહેવાનું કે રોજ ચાર વાગ્યે સત્સંગમાં જવાનું, નહીં તો તો પછી થઈ જ રહ્યું ને ! એવું ‘ગોઠવાયેલું’ કહે એટલે ખલાસ થઈ ગયું. ગોઠવાયેલું કહેવાય નહીં. છે ગોઠવાયેલું, પણ તે જ્ઞાનીની દ્રષ્ટિએ ગોઠવાયેલું છે અને તમને આ વાત જ્ઞાની અવલંબનરૂપે આપે. આ એક્ઝેક્ટ અવલંબન છે પણ એ વાપરવાનું અમારી કહેલી સમજણ પ્રમાણે વાપરજો. તમારી સમજણ પ્રમાણે વાપરશો નહીં. જ્યાં સુધી કેવળદર્શન તમને થયું નથી ત્યાં સુધી અમે કહીએ કે ભઈ, આમ બેન્કમાંથી બહાર આવો તો ગજવું દાબી રાખજે. ‘બીવેર ઓફ થીવ્ઝ’ લખેલું આવે ત્યારે ગજવું દાબી રાખજે અને તેમ છતાં એ મરચાં આંખમાં નાખી જાય ને ગજવું કાપી નાખે તો આપણે કહેવું કે ‘વ્યવસ્થિત છે.’ આપણો પ્રયત્ન હતો. બહુ સમજવા જેવું છે. વ્યવસ્થિત તો બહુ ઊંડી વસ્તુ છે ! ડખલ મટી ત્યાં પ્રકૃતિ સહજઆ ‘જ્ઞાન’ આપેલું હોય, તેને પણ ગાડીમાં ચઢતા ક્યાં જગ્યા છે ને ક્યાં નથી, એવો વિચાર આવે. ત્યાં સહજ રહેવાય નહીં. મહીં પોતે ડખલ કરે (પા.૪૪)છતાં પણ આ ‘જ્ઞાન’માં જ રહો, ‘આજ્ઞા’માં જ રહો તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તોય, લોકોને સો ગાળો ભાંડતો હશે તોય એ પ્રકૃતિ સહજ છે. કારણ કે અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટીને ત્યારથી જ પ્રકૃતિ સહજ થવા માંડે. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં ‘આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ કરાય, આ ના કરાય.’ એની કડાકૂટો ઠેઠ સુધી રહેવાની ! સાહજિક દશાની પારાશીશીપ્રશ્નકર્તા : સહજતા લાવવા માટે આ ફાઈલ નંબર એકનો પણ સમભાવે નિકાલ કરવો પડશે ? દાદાશ્રી : આ પહેલા નંબરની ફાઈલની જોડે કશી ભાંજગડ નહીંને ? કોઈ જાતની નહીં ? ઓહોહો ! અને ગુનો નહીં કરેલો પહેલા નંબરની ફાઈલનો ? હું પૂછું છું આપણા મહાત્માઓને કે, ‘પહેલા નંબરની ફાઈલનો નિકાલ કરો છોને સમભાવે ?’ ત્યારે કહે છે, ‘પહેલા નંબરની ફાઈલ ઉપર શું નિકાલ કરવાનો હોય ?’ અલ્યા, ખરી ફાઈલ જ પહેલા નંબરની છે. આપણે જે દુઃખી છીએ, આપણને અહીં જે દુઃખ લાગે છેને, તે અસહજતાનું દુઃખ છે. મને કોઈકે પૂછ્યું હતું કે ‘આ પહેલાં ફાઈલ નંબર ૧, તે એને ફાઈલ ના ગણીએ તો શું વાંધો ? એ શું કામનું છે ? એમાં કંઈ બહુ ખાસ એ હેલ્પીંગ નથી.’ ત્યારે મેં આવો જવાબ આપ્યો કે, ‘આ ફાઈલ જોડે તો બધું બહુ જ માથાકૂટ કરી છે આ જીવે. અસહજ બનાવી દીધો છે.’ ત્યારે કહે છે, ‘આ બીજી ફાઈલો જોડે આપણે કંઈ નુકસાન કર્યું હોય તો સમજાય પણ આપણી ફાઈલ જોડે, પહેલા નંબરની ફાઈલ જોડે શું નુકસાન કર્યું એ સમજાતું નથી.’ આ બધાં નુકસાન કર્યાં હોય, તે આ ફોડ પાડીએને ત્યારે સમજાય, બળ્યાં. ‘સમભાવે નિકાલ’ કરીએ છીએ આ બધી ફાઈલો જોડે. પછી આ બીજા નંબરની ફાઈલ જોડે તો ઝઘડા થયા હોય, ભાંજગડ થઈ હોય તો એનો નિકાલ સમભાવે કરીએ, પણ આ ફાઈલ નંબર એક અમારી જ ફાઈલ. આની જોડે (પા.૪૫)શું નિકાલ કરવાનો ?’ પણ આ લોકોને ખ્યાલમાં જ નથી કે શું નિકાલ કરવાનો છે ! બધા પાર વગરના નિકાલ કરવાના છે. તે મેં એને સમજણ પાડી. ત્યારે એય કહે છે, ‘આય વાત બહુ વિચારવા જેવી થઈ આ તો.’ બહાર ભાષણો ચાલતાં હોય ને બધાં, વડાપ્રધાન ને એમનાં. તે ઘડીએ થૂંકવાનો થયો હોયને, તે થૂંકે નહીં. સભામાં બેઠો હોયને, પેશાબ કરવા જવું હોય તો દોઢ-બે કલાક સુધી જાય નહીં. બને કે ના બને એવું ? સંડાસ જવાનું હોય તોય હમણે કલાક પછી હવે. નહીં તો સભામાં ઊઠે તો આબરૂ જાયને ? સંડાસ જવાનું હોય તો આંતરે ખરો કલાકેક ? પ્રશ્નકર્તા : હા, તોય આંતરે. એને ના ચાલે ત્યારે જાય. દાદાશ્રી : પણ આ જે બધું કર્યુંને, સહજ જે સ્વભાવ હતો દેહનો, તે સહજ સ્વભાવ તૂટી ગયો. આને સહજ રહેવા દીધો જ નથી. એટલે બધી બહુ બાબતમાં એવું કર્યું છે. એટલે પહેલા નંબરની ફાઈલને બહુ નુકસાન કરેલું હોય. આ શરીરને સહજ નથી રહેવા દીધું, તે જ છે તે આ તમારી પહેલા નંબરની ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો છે. અસહજ થઈ ગયો છે બધી વૃત્તિઓ દબાય દબાય કરીને. થાકી ગયો હોય તોય ચાલ ચાલ કરે. કોઈ હોટલમાં ખાવા બેઠો હોય, પહેલા નંબરની ફાઈલ ધરાઈ ગઈ હોય ને પેલો સારો સ્વાદિષ્ટ ખોરાક હોય તો ઠોક ઠોક કરે, એ નુકસાન કરે. પહેલા નંબરની ફાઈલને તો બહુ હેરાન કરે આપણા લોકો. સારું પુસ્તક હોય તો વાંચ વાંચ કર્યા કરે, ટાઈમ થયો હોય ઊંઘવાનો તોય. થોડો ઈન્ટરેસ્ટ પડ્યો છેને ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ પહેલા નંબરની ફાઈલ આવી હશે એવી કલ્પના જ ક્યાંથી આવે ? દાદાશ્રી : હા, ‘હું જ છું’ બધું. પ્રશ્નકર્તા : હા. એ તો આપની પાસે આવ્યા અને આપે એવો કંઈક જાદુમંતર કર્યો ત્યારે ખબર પડી કે હવે અમારી આ ફાઈલ છે. નહીં તો અમેય (પા.૪૬)એ જ હતા. દાદાશ્રી : ‘હું જ છું’ ત્યારે તું ચોટલી શું કરવા બાંધે છે ? ત્યારે કહે, ‘મારે પરીક્ષા ચાલે છે હમણે. અલ્યા ‘તું છું’ એટલે કરને, વાંચને ? ત્યારે કહે, ‘ના, ઊંઘી જવાય છે.’ ત્યારે તે તું નહીં ? ત્યારે એ એને પછી ભેદ સમજાતો નથી. નાટક જોવા જવું હોય તો પહેલા નંબરની ફાઈલને ઊંઘવું હોય તો ઊંઘવા ના દે અને નાટક જોવા જાય. ત્રણ વાગ્યા સુધી નાટક જુએ અને નાટકમાં એકાદ ઝોકુંય આમ આવી જાય. ત્યારે કો’ક કહેશે, ‘ભઈ, નાટક જુઓને, અમથા આમ શું કરવા કરો છો ?’ પાછો જાગે. પાછો ના હોય તો કશું આંખોમાં ચોપડીને બેસે. પણ આની પાસે ગમે તેમ કરીને મારી-ઠોકીને કામ લીધું. આ ફાઈલને ઊંઘમાં ઓબ્સ્ટ્રક્ટશનો (અવરોધો) કર્યાં. શેમાં ? નાટક જોવા તે ઊંઘમાં ઓબ્સ્ટ્રક્ટશન કરે. સમભાવે નિકાલથી થાય સહજઆ અનિયમિત થઈ ગયું. અનિયમિત એટલે અસહજ થાય. અસહજ થાય એટલે આત્માને અસહજ કરે. જેનો દેહ સહજ, તેનો આત્મા સહજ. એટલે પહેલા ફાઈલ નંબર વનને જ સહજ કરવાની. જાગરણ કરે કે ના કરે ? પુણ્યશાળી છો, તમારા હિસાબમાં નાટકો-બાટકો છે નહીં. અમારા ભાગમાં તો બહુ નાટકો હતાં. પહેલા નંબરની ફાઈલની છે કોઈ ભૂલ ? પહેલા નંબરની ફાઈલ જોવા જેવી ખરી કે નહીં ? પ્રશ્નકર્તા : પહેલા નંબરની જ ફાઈલને જોવા જેવી ખરી, દાદા. દાદાશ્રી : અહીંથી મુંબઈ જાય ગાડીમાં તો ઊંઘને ઓબ્સ્ટ્રક્ટશન કરે કે ના કરે આપણા લોક ? ઊંઘવામાંય છે તે ગાડીમાં બેઠો મુંબઈ જવા હારુ, તે આખી રાતનો ઉજાગરો. શરીર તો આમ આમ હલાહલ કરે. કો’કની ઉપર પડે આમ, જોડે હોયને ! તે આપણને થાય કે ‘આ આવડા મોટા માણસ થઈ, કોન્ટ્રાક્ટર જેવા તમે આ મારી ઉપર પડ્યા !’ આપણા કોટને પાછો એ તેલવાળો કરે. હવે એમને શું કહીએ ? કહેવાયેય શું આપણાથી ? કારણ કે (પા.૪૭)એનો કંઈ ગુનો છે નહીં. આપણે બેઠા એટલે આપણો ગુનો, એમનો શું ગુનો ? એ તો સહજ રીતે ઊંઘે છે બિચારા. પણ દેહને સહજ ના થવા દીધો ને અસહજ થયો, તેનો આ બધો હિસાબ છે. ભગવાન શું કહે છે, ‘દેહને સહજ કરો.’ ત્યારે આમણે અસહજ કર્યો. ગાડીમાં છે તે થાક લાગ્યો હોય તોય નીચે ના બેસે. પહેલા નંબરની ફાઈલ શું કહે, ‘બહુ થાકી ગયો છું’ તોય આ આબરૂદાર માણસ નીચે ના બેસે. બને કે ના બને એવું ? હું કહું કે ‘બેસ ને હવે, બેસ.’ ‘આ લોક જોશેને !’ પણ લોક તને કોણ ઓળખે છે આમાં અને ઓળખતા હોય તો શું પણ ? કોઈ આબરૂદાર છે આમાં ? ગાડીમાં કોઈ આબરૂદાર દેખાયો તને ? આબરૂદાર હોય તો આપણી આબરૂ જાય. મેં તો બહુ આબરૂદાર જોયેલા. એટલે મને તો સમજણ પડી ગયેલીને, તે થર્ડ ક્લાસની મુસાફરી કરતો હતો ત્યારે છે તે બેગ હોય તો નીચે મૂકીને એની ઉપર બેસું, બેગ બગડશે તો વાંધો નહીં. એટલે મારું કહેવાનું આ અસહજ દેહને કરીએ ને પછી કહે છે, હવે મને ભૂખ નથી લાગતી. ભૂખ લાગી હોય તે ઘડીએ ‘થાય છે, ઉતાવળ શું છે ? વાતચીત હમણે ચાલવા દો.’ તે દોઢ કલાક નીકળી જાય અને પછી આવું ને આવું કરેને રોજ. પછી કહે, ‘મને હવે ભૂખ બિલકુલ મરી ગઈ છે.’ ત્યારે મૂઆ, શી રીતે જીવતી રહે તે ? તે પ્રયોગ જ એ કર્યા છેને ! અલ્યા, ભૂખ લાગે ત્યાર પછી બે કલાકે ખાય, એ ત્યારે પત્તાં રમવા બેઠો હોય. કેટલાક મોજશોખમાં રહી જાયને, ‘થાય છે, થાય છે.’ તે બે કલાક પછી ભૂખ મરી જાય પછી ખાય. એટલે આવી રીતે બધું અસહજ થઈ ગયું છે. અરે, એક માણસ તો મેં જોયો હતો, આજથી ત્રીસેક વર્ષ ઉપર. તે ચા મંગાવી સ્ટેશન પર અને પેલાએ કપમાં ચા એના હાથમાં આપી. ત્યારે ગાડી ઊપડવાની થઈ. હવે એના મનમાં એમ થયું કે આ ચાના પૈસા નકામા જશે, એણે મોઢેથી રેડી દીધી મહીં એ, તે દઝાઈ મર્યો. તે તો મેં જાતે જોયું હતું. હા, આખો કપ જ રેડી દીધો મહીં ચાનો. પહેલી રકાબી પી લીધી અને પછી પોણા ભાગનો કપ રહ્યોને અને ગાડી ઊપડવાની થઈ એટલે પેલો દુકાનવાળો કહે, ‘એય, પી લો, પી લો.’ તો આણે પી લીધી. પી લીધા પછી જે લહાય (પા.૪૮)બળી, બહુ મુશ્કેલીમાં મૂકાયો હતો બિચારો. આપણા લોક તો હોશિયાર લોકો, બહુ પૈસા નકામા ન જવા દેને ! એક પૈસોય નકામો ના જવા દે. એટલે સમજણ પાડી તે કહે છે, ‘ઓહોહો ! આવી ચીજો બહુ કરી છે.’ ત્યારે મેં કહ્યું, ‘તું આવ. હું તને ટૂંકું સમજાવું, એના પરથી સમજી જાને !’ સમભાવે નિકાલ નથી કર્યો ફાઈલ નંબર એક જોડે. તે આ ફાઈલને પાછી સહજ કરવાની છે, સમભાવે નિકાલ કરીને. ચાલવું ધ્યેય પ્રમાણે, મન પ્રમાણે નહીંપ્રશ્નકર્તા : નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે અને છતાં એમાં કાચા પડી જવાય, એને માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : લે ! શું કરવું જોઈએ એટલે ? મન કહે કે ‘આમ કરો’ તો આપણે જાણીએ કે આ આપણા ધ્યેયની બહાર છે, ઊલટું દાદાજીની કૃપા ઓછી થઈ જશે. એટલે મનને કહીએ કે ‘નહીં, આ આમ કરવાનું ધ્યેય પ્રમાણે.’ દાદાજીની કૃપા શી રીતે ઊતરે, એ જાણ્યા પછી આપણે આપણી ગોઠવણી હોવી જોઈએ. એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાથી આ બધી ભાંજગડ થાય છે. ઘણા વખતથી બોલ્યો છું આને. આ જ સમજ પાડ પાડ કરું છું. એટલે પછી મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાનું. આપણા ધ્યેય પ્રમાણે જ જવું જોઈએ. નહીં તો એ તો કયે ગામ જવું, તેને બદલે કયે ગામ લઈ જશે ! ધ્યેય પ્રમાણે ચાલવું, એનું નામ જ પુરુષાર્થ ને ! એ તો મનના કહ્યા પ્રમાણે તો આ અંગ્રેજો-બંગ્રેજો બધા ચાલે જ છેને ! આ બધા ફોરેનરોનું મન કેવું હોય ? લાઈનસરનું હોય અને આપણું ડખાવાળું મન હોય. કંઈનું કંઈ ઊંધું હોય. એટલે આપણે તો આપણા મનના પોતે સ્વામી થવું પડે. આપણું મન, આપણા કહ્યા પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આ વાત નીકળેને એટલે પંદર-વીસ દિવસ એ પ્રમાણે ચાલે. પાછું કંઈક એવું બની જાયને, તો પાછું ફરી જાય. (પા.૪૯)દાદાશ્રી : ફરી જાય પણ તે મન ફરી જાય, આપણે શું કરવા ફરી જઈએ ? આપણે તો એના એ જ ને ! આજ્ઞા પાળવામાં ડખલ કોની ?પ્રશ્નકર્તા : આજ્ઞા માટે કેમ સહજ નથી થઈ જતું ? દાદાશ્રી : એ તો પોતાની કચાશ છે. પ્રશ્નકર્તા : શું કચાશ છે ? દાદાશ્રી : કચાશ, એ જાગૃતિની, ઉપયોગ દેવો પડેને, થોડો ઘણો ? એક માણસ સૂતાં સૂતાં વિધિ કરતો હતો. તે જાગતાં છે તે પચ્ચીસ મિનિટ થાય, બેઠાં બેઠાં. તે સૂતાં સૂતાં અઢી કલાક થયા એનાં. શાથી ? પ્રશ્નકર્તા : વચ્ચે ઝોકું ખાઈ જાય. દાદાશ્રી : ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય. પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે. કંઈ ડખલ થાય એવું નથી. થોડુંઘણું રહે છે ? પ્રશ્નકર્તા : પાંચેય આજ્ઞા એટ-એ-ટાઈમ પાળવી એટલું સહેલું નથીને ! પેલું ખેંચી જાય મનને ! દાદાશ્રી : આમાં રસ્તે જતાં જતાં શુદ્ધાત્મા જોતા જાય, એમાં શેની અઘરી ? શું અઘરી ? ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં, આઠ-દસ દહાડા સુધી. તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એટલે જાગૃતિ થોડી રાખવી, એટલું જ કામ છેને ? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ. અનાદિનો અવળો અભ્યાસ છે. આ પાંચ વાક્યો તો બહુ ભારે વાક્યો છે. એ વાક્યો, સમજવાને માટે એ બેઝિક છે પણ બેઝિક બહુ ભારે છે. ધીમે ધીમે સમજાતાં જાય. આમ દેખાય છે હલકાં, છેય સહેલાં પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને ! મનના વિચાર ચાલતા હોય, મહીં ધૂળધાણી ઉડતી હોય, ધુમાડા ઉડતા હોય, (પા.૫૦)તે એ શી રીતે રિલેટિવ ને રિયલ જુએ ? પૂર્વકર્મના ધક્કા...પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહીં ? દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલાં કર્મો છે, તે ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. હવે દૂધપાક વધારે માંગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધાં કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી, અનુભવી, અને ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની આ વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે ‘ભઈ, આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે ? પ્રશ્નકર્તા : એ આજ્ઞાય પછી કેટલીક વખત સહજ થઈ જાય છે. દાદાશ્રી : ધીમે ધીમે બધી સહજ થઈ જાય. જેને પાળવી છે, તેને સહજ થાય છે. એટલે પોતાનું મન જ એવી રીતે વણાઈ જાય છે. જેને પાળવી છે ને નિશ્ચય છે, એને મુશ્કેલી કોઈ છે જ નહીં. આ તો ઊંચામાં ઊંચું, સરસ વિજ્ઞાન છે અને નિરંતર સમાધિ રહે. ગાળો ભાંડે તોય સમાધિ જાય નહીં, ખોટ જાય તોયે સમાધિ જાય નહીં, ઘર બળતું દેખે તોય સમાધિ ના જાય. પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિનો એટલો વિકાસ થાય છે કે આજ્ઞાઓ મહીં અંદર બધી વણાઈ જાય છે. દાદાશ્રી : વણાઈ જાય. પ્રજ્ઞાશક્તિ પકડી જ લે. આ પાંચ આજ્ઞા, આ પાંચ ફન્ડામેન્ટલ સેન્ટેન્સ છે ને, તે આખા વર્લ્ડના બધાં શાસ્ત્રોનો અર્ક જ છે બધો ! આજ્ઞાનું ફલાય વ્હીલઆજ્ઞાનું ફ્લાયવ્હીલ એકસો એક્યાસી સુધી ફર્યું એટલે ગાડું ચાલ્યું. (પા.૫૧)એકસો એંસી સુધી છે તે રકમ જમે કરાવવાની છે. એકસો એક્યાસી થયો એટલે એના પોતાના જોરથી ચાલશે. એ તો આ મોટા ફ્લાયવ્હીલ હોય છેને, તે આમથી આમ, તે અહીં અડધે સુધી ઊંચું કર્યું પછી એ એની મેળે, એના પોતાના જોરે ફરે, પછી બીજું અડધું. એવું આય બીજું અડધું એની મેળે જ ફરે. આપણે ત્યાં સુધી જોર કરવાનું છે, બસ. પછી તો એની મેળે સહજ થઈ જાય, આખું વ્હીલ ફરવાનું. ડિગ્રી વધ્યાનો અનુભવપ્રશ્નકર્તા : આ નેવું ડિગ્રી સુધી પહોંચ્યો કે સો ડિગ્રી સુધી પહોંચ્યો એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એ તો પોતાને બોજો હલકો લાગે ને પોતાનું સહજ થતું જાય. જેમ જેમ સહજ થતું જાય તેમ રાગે પડતું ગયું. સહજ થતું જાય, સહજ. અને બોજો ઓછો નથી લાગતો ? બોજો ઓછો લાગે અને રાગે જ પડી જાય એનું. આજ્ઞારૂપી પુરુષાર્થ : સ્વાભાવિક પુરુષાર્થપાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છેને ? રિલેટિવ ને રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો ‘વ્યવસ્થિત’ કહીને બંધ કર. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે ‘વ્યવસ્થિત’ કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. આમ આજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રાખે છે. અમારી આજ્ઞામાં રહો એ પુરુષાર્થ. પુરુષ (આત્મા) થયા પછી પુરુષાર્થ બીજો શો ? અને આજ્ઞાથી ફળ આવેલું હોય, એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે. તેય પુરુષાર્થ કહેવાય, મોટો પુરુષાર્થ કહેવાય. આ આજ્ઞાથી પુરુષાર્થ અને પેલો સ્વાભાવિક પુરુષાર્થ ! (પા.૫૨)પ્રશ્નકર્તા : સ્વાભાવિક પુરુષાર્થમાં આવી ગયા, પછી પેલો પુરુષાર્થ કરવાની કંઈ જરૂર ખરી ? દાદાશ્રી : પછી જરૂર નહીંને ! પેલું તો એની મેળે છૂટી જાય. પ્રશ્નકર્તા : જ્ઞાની જ્યારે મળે ત્યારે સ્વાભાવિક પુરુષાર્થ જ ઉત્પન્ન થતો હોયને ? દાદાશ્રી : હા, સ્વાભાવિક ઉત્પન્ન થાયને ! પહેલું આજ્ઞારૂપી પુરુષાર્થ, એમાંથી પછી સ્વાભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય. આપણી પાંચ આજ્ઞાઓ સહજ થવા માટે આપી છે. આ આજ્ઞાનું પુણ્ય બંધાય. તેનાથી એક અવતાર, બે અવતાર થાય. અમારી આજ્ઞા પાળો એટલે સહજ સમાધિ નિરંતર રહે. (પા.૫૩)[5] ત્રિકરણ આમ, થાય સહજઈફેક્ટમાં ડખલ નહીં એ જ સાહજિકતાપ્રશ્નકર્તા : આપના મતે સાહજિક એટલે શું ? દાદાશ્રી : સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી. આ ટૂંકામાં, એક જ વાક્યમાં મેં વાત કરી. કેટલું સમજાય છે આમાં ? ન સમજાય તો આગળ બીજું વાક્ય મૂકું ? મન-વચન-કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે, તેમાં ડખલ કરવી એ સાહજિકતા તૂટી ગઈ. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન તૂટી જાય, ત્યારે સહજ થાય. સાહજિક એટલે શું ? આ અંદરનું મશીન જે બાજુ ચલાવે તે બાજુ ચાલ્યા કરવું, પોતાનો ડખો નહીં. મહીં જે રીતે વર્તાવડાવે છે એ રીતે વર્તવું. દેહ દેહનો ધર્મ બજાવે, આપણે આપણો ધર્મ બજાવવાનો. પોતપોતાના ધર્મ બજાવે, એનું નામ જ્ઞાન અને બધા ધર્મને ‘હું બજાવું છું’ એમ કહે, એનું નામ અજ્ઞાન. મન ચઢ-ઊતર કરે, આઘુપાછું થાય, એ એનો સ્વભાવ જ છે. એનો ધર્મ બજાવે છે. તે બધું આપણે જોવું અને જોયું એટલે એને કંઈ ફરિયાદ જ નહીં. જોયું એટલે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થઈ ગયું. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયો એટલે સહજાત્મ થઈ ગયો. ડખો ના કરે મહીં કોઈનામાં, મનના ધર્મમાં કે બીજાનામાં. અને મનનો, એ બધાનો સહજ ધર્મ થઈ જાય, એ સહજ દેહ થઈ ગયો કે બધું સહજ થઈ ગયું. (પા.૫૪)આત્મા તો સહજ જ છે, સ્વભાવથી જ સહજ છે, દેહને સહજ કરવાનો છે. એટલે એના પરિણામમાં ડખો નહીં કરવો. એની જે ઇફેક્ટ હોય તેમાં કોઇ પણ જાતનો ડખો નહીં કરવો, એનું નામ સહજ કહેવાય. પરિણામ પ્રમાણે જ ફર્યા કરે. સહજ એટલે શું ? મન-વચન-કાયા એ ચાલ્યા કરે છે, એનું નિરીક્ષણ કર્યા કરો. અનુભવ સહિતની સહજતાપ્રશ્નકર્તા : તો મન-વચન-કાયા એના મૂળ સ્વભાવમાં આવી જાય ? દાદાશ્રી : હા, સ્વભાવિક. આ અમારા મન-વચન-કાયા બધું સ્વભાવિક હોય. સ્વભાવિક જેવું છે એવું સ્વભાવિક, એમાં ડખો-બખો કરે નહીં. હવે તમારે આની જોડે જરા ઉગ્રતા આવી ગઈ હોય, તોય એને સ્વભાવિક કહેવાય છે. મન-વચન-કાયા સ્વભાવિક કહેવાય છે. એટલે મહીં જે છે એ માલ નીકળ્યો, કહે છે. તેમાં ડખો કરતા નથી એ સ્વભાવિક. સાહજિક મન-વાણી ને કાયાવાળું દરેક કાર્ય સરળ થાય. અનુભવ અસહજ હોય તો તે કાર્ય ના થાય. અનુભવ સાથે સાહજિકતા હોવી જોઈએ ત્યારે કાર્ય થાય. ... પછી મન-વાણી-વર્તન ડિસ્ચાર્જપ્રશ્નકર્તા : આત્માની જ્ઞાનશક્તિ એની જે અવસ્થા બદલાય તેમ મન-વાણી-વર્તન ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : મન તો છે એ જ રૂપકમાં આવે છે, જે ફિલ્મ વીંટેલી છે એ ફિલ્મ દેખાય છે. મનમાં નવું કશું કરવાનું રહેતું નથી. પ્રશ્નકર્તા : પણ એ જ્યારે મન ચાલુ હોય, તે વખતે મહીં રોંગ બિલિફ જેવી કંઈ પણ આંટી પડી હોય, એ જો છૂટી જાય તો તે વખતે મન બંધ થઈ જાય છે ? (પા.૫૫)દાદાશ્રી : એવું કશું નહીં. મન તો ચાલુયે રહે. મન તો ઝમ્યા જ કરે, એની મેળે. ફિલ્મ ચાલુ જ રહ્યા કરે, એની મેળે ! પ્રશ્નકર્તા : મન જેમ કુદરતી રીતે જ ઝમ્યા કરે છે તો વાણી બોલવી હોય ત્યારે પણ એવું છે ? દાદાશ્રી : વાણી કુદરતી રીતે જ ઝમ્યા કરે છે. પ્રશ્નકર્તા : અને કોઈ પણ પ્રકારનું વર્તન ? દાદાશ્રી : વર્તનેય કુદરતી રીતે જ ઝમ્યા કરે છે. નિર્તન્મયતા ત્યાં નિરોગીતાશરીર-મન-વાણીની જેટલી નિરોગીતા એટલી આત્માની સહજતા. પ્રશ્નકર્તા : આ શરીર-મન-વાણીની નિરોગીતા એટલે કઈ રીતે નિરોગીતા ? દાદાશ્રી : વ્યવહાર આત્મા સહજ હોય તે ઘડીએ વાણી નીકળે ત્યારે નિરોગી નીકળે. આ બાજુ નિરોગી વાણી હોય તો આત્મા સહજ હોય એમનો. આ અમે બધું બોલીએને તે બધું નિરોગી કહેવાય. એટલે આત્મા મહીં સહજ જ હોય અને એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહેવાય. આવા સહજાત્મા સ્વરૂપની ભક્તિ કરવી. બે જુદાં, પોતે ડખલ ના કરે મહીં. ડખલને લઈને સહજતા ઊડી ગઈ. પ્રશ્નકર્તા : પણ નિરોગી વાણી એટલે રાગ-દ્વેષ વિનાની વાણી, દાદા ? દાદાશ્રી : હા, બિલકુલ રાગ-દ્વેષ વિનાની. પ્રશ્નકર્તા : તો મનને કઈ રીતે નિરોગી બનાવવું, દાદા ? દાદાશ્રી : મન તો પોતાનું નહીં એટલે મન તો એની મેળે ડિસ્ચાર્જ થયા કરે. મહીં ભળે તો છે તે રોગ થાય. ભળે જ નહીં તો શી રીતે રોગી થાય ? છો ને ગમે તે આડું હોય કે ઊંધું હોય, તોય મહીં આડા-ઊંધાની કિંમત (પા.૫૬)નથી. સારું-ખોટું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં કંઈ છે જ નહીં. ભગવાન તો કહે છે કે આ બધું દ્રશ્ય છે, સારું-ખોટું કરવાનું છે નહીં. દ્રશ્યને જોવાનું છે. જ્ઞેયને છે તો જ્ઞાનથી જાણવાનું છે. પ્રશ્નકર્તા : દાદા, પણ લૌકિક દ્રષ્ટિએ, સારા-ખોટાના વિચારો આવી જાય છે અને એના લીધે કોઈકવાર કોઈના પ્રત્યે દ્વેષ ઊભો થઈ જાય છે. દાદાશ્રી : ના, એ તો મનમાં થાય છે તે, એ તો તમે જાણી જાવ છો ને ! એ ભરેલો માલ છે તે નીકળે છે. તેને તમારે જોયા કરવાનો. મહીં પૂછીને ભરેલો ના હોય. નીકળી ગયો એ તો ફરી નહીં આવે હવે અને ફરી થોડોક હશે તો આવીને પણ પછી નહીં આવે. જેટલો પાઈપમાં ભરેલો છે એટલો માલ આવશે. પ્રિકૉશન લેવા કે નહીં ?પ્રશ્નકર્તા : સહજ ભાવે વિચાર કરીએ, જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય, તો શું એ વિકલ્પ કહેવાય ? વિચારીને કર્યા પછી જે બને તે સાચું. પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય કે વિકલ્પ કર્યો કહેવાય ? દાદાશ્રી : જેણે ‘જ્ઞાન’ લીધું ના હોય, તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે ‘જ્ઞાન’ લીધું હોય ને, તે સમજી ગયો હોય. તેને વિકલ્પ ના રહે પછી. શુદ્ધાત્મા તરીકે ‘આપણને’ જરાય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે, તે વિચાર જાણવાનો હોય છે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કંઈ ‘પ્રિકૉશન’ લેવાનાં જ નહીં ? દાદાશ્રી : ‘પ્રિકૉશન’ (સાવચેતી) તો હોતાં હશે ? એની મેળે થાય, એનું નામ ‘પ્રિકૉશન.’ આમાં ‘પ્રિકૉશન’ લેનાર હવે કોણ રહ્યો ? ધોળે દહાડે તમે ઠોકરો ખાવ છો ! તેમાં ‘પ્રિકૉશન’ લેનાર તમે કોણ ? શું માણસ ‘પ્રિકૉશન’ લઈ શકે, એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં ? જગત આખું ‘પ્રિકૉશન’ લે છે, છતાં શું ‘એક્સિડન્ટ નથી થતાં ?’ જ્યાં (પા.૫૭)‘પ્રિકૉશન’ નથી હોતાં, ત્યાં કશા ‘એક્સિડન્ટ’ નથી થતાં ! ‘પ્રિકૉશન’ લેવું એ એક જાતનું ચાંચલ્ય છે, વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી. જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : પણ કાળજી કર્તાભાવથી નથી, પણ ‘ઓટોમેટિક’ તો થાય ને ? દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય. પ્રશ્નકર્તા : કર્તા નથી, પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેકબુદ્ધિથી કરવું એમ ? દાદાશ્રી : ના, એની મેળે બધું જ થઈ જાય. ‘તમારે’ ‘જોયા’ કરવાનું કે શું થાય છે ! એની મેળે બધું જ થઈ જાય છે ! હવે તમે વચ્ચે કોણ રહ્યા છો, તે મને કહો ? તમે ‘શુદ્ધાત્મા’ છો કે ‘ચંદુલાલ’ છો ? પ્રશ્નકર્તા : તમે કહો છો કે વચ્ચે તમે કોણ ? તો વચ્ચે મન તો ખરું ને ? દાદાશ્રી : મનની અમે ક્યાં ના પાડી છે ? મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે અને કોઈ વખત વિચાર ના પણ આવે. એવું છે, મન તો છેલ્લા અવતારમાંય ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય, જેવા ઉદય આવે તેવું હોય. વિચારવું એ મનોધર્મઆ જગત વિચારવા જેવું જ નથી. વિચારવું એ જ ગુનો છે. જે ટાઈમે જરૂર હોય તે ટાઈમે તે વિચાર આવીને ઊભો જ રહે. તે તો થોડો વખત કામ પૂરતો જ, પછી પાછો બંધ થઈ જાય. પછી વિચારવા માટે એક મિનિટ કરવી એ બહુ મોટો ગુનો. એક મિનિટ વિચારવું પડે એ તો બહુ મોટો ગુનો. એટલે અમે વિચારોમાં ના રહીએ. અમે તમારી જોડે દર વખતે રમૂજ કરીએ, ટીખળ કરીએ, ફલાણું કરીએ, (પા.૫૮)તે નિર્દોષતાથી અમે કરીએ. જેમાં રાગ-દ્વેષ ના હોય, ગમ્મત, આનંદ ઉપજાવે એવું હોય તેમાં રહીએ. બહારના ભાગને કશું જોઈએ તો ખરું ને ? અને તેને આત્મા બસ જાણે કે ઓહો ! શું શું કર્યું ને શું શું નહીં, એ બધું અમે જાણીએ. કરે ખરું ને જાણે ખરું. કારણ કે એક મિનિટથી વધારે વિચારવાનું નહીં. એ તો એની જરૂરિયાત પૂરતા વિચાર આવી જ જાય, એની મેળે. કંઈક કાયદો જ છે એવો અને આપણું કામ થઈ જાય. વધુ વિચાર (તન્મયાકાર થઈને) કર્યો કે પછી બધું આખા ગામનો ગંદવાડો પેસી જાય મહીં. કારણ કે તે વખતે પેલું (તન્મયાકાર વખતે) ખુલ્લું હોય. આ જેમ એર કોમ્પ્રેસર હોય છે તે હવા ખેંચે છે ને, અને પછી તે વાંદરાની ખાડી આગળ ખેંચે તો ? બધું ગંધાઈ ઊઠે. એટલે આને ખુલ્લું રાખો ને, તે ગંદવાડો જ પેસે બધો. એટલે ખુલ્લું જ નહીં રાખવાનું, અડવાનું નહીં. ત્યારે કોઈ કહે કે શું વિચારવું એ કંઈ મારો ધર્મ છે ? ત્યારે અમે કહીએ કે ના, તારો નથી. એ તો મનનો ધર્મ છે. એમાં તારો ગુનો નથી. પણ આપણે એનાથી છેટા રહીને જોવાની જરૂર છે. આ તો આપણો ધર્મ બજાવતા નથી. આપણો ધર્મ શું છે ? પ્રશ્નકર્તા : જોવાનો. દાદાશ્રી : હા, જોવાનો. તેમાં તન્મયાકાર થવાનો નહીં. બાકી, વિચારવાનું તો ડિસ્ચાર્જ એની મેળે થયા જ કરે છે. થોડીક કંઈ વાત થઈ કે આપણું કામ થઈ જાય. સહજભાવે વ્યવહારઅમે બોલીએ છીએ, તેનું જો વિચાર કરીને બોલીએ તો ? એક અક્ષરેય બોલાય નહીં ને અવળું નીકળે ઊલટું. વિચાર કરીને કોર્ટમાં ગયેલા ને, તે સાક્ષી અવળી અપાયેલી. બહુ વિચાર કર્યો કે આવું કહીશ ને આવું બોલીશ, એવું મહીં વિચારીને પછી જાય ત્યાં કોર્ટમાં. પછી તે વખતે શું બોલે ? પ્રશ્નકર્તા : એ ‘વ્યવસ્થિત’માં જે બોલવાનું હોય તે જ બોલાવડાવે. દાદાશ્રી : એનું વ્યવસ્થિતેય અવ્યવસ્થિત થયેલું હોય બધું, ગોટાળો કરી (પા.૫૯)નાખે. વિચાર્યા વગર જાય ને, તો પદ્ધતિસર બોલાય. આત્માની અનંત શક્તિઓ છે. આવું ત્યાં આગળ પાળ બાંધવાની જરૂર જ ના હોય. અને માનો કે તમને વકીલે કહ્યું, તમારે કોર્ટમાં જવાનું છે, સાક્ષી રાખવા માટે. જુઓ, સાંભળો છો કે આમ બોલવાનું, આમ બોલવાનું. ત્યાર પછી તમે ઘૂંટ ઘૂંટ કરો કે આવું કહ્યું, આવું કહ્યું, આવું બોલવાનું કહ્યું, અને પછી ત્યાં જઈને બોલો તો જુદી જાતનું બોલશો. એ સહજભાવ પર છોડી દો. સહજની એટલી બધી શક્તિ છે ! આ બધું અમારું સહજનું તમે જુઓ છો ને, છે કે નહીં ? તમે જવાબ માંગો તે ઘડીએ અમે જવાબ આપીએ કે ના આપીએ ? હાજરજવાબ હોય. નહીં તો તમારું કશું કામ થાય નહીં. ભેદ, સમજણ અને વિચારણાનોવિચારવાથી, જે જે કંઇ વિચારીને કર્મ કરવામાં આવે એ બધું અજ્ઞાન ઊભું થાય અને નિર્વિચારથી જ્ઞાન થાય. એ સહજ હોય ! વિચારેલું એ જ્ઞાન ગણાય નહીં. વિચાર એટલે એ બધું મડદાલ જ્ઞાન કહેવાય અને આ સહજ એ વિજ્ઞાન કહેવાય. એ ચેતન હોય, કાર્યકારી હોય અને પેલું વિચારેલું બધું અજ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય નહીં. એ ક્રિયાકારી ના હોય, પરિણામ ના પામે. પછી કહે કે હું જાણું છું પણ થતું નથી, હું જાણું છું પણ થતું નથી. એની મેળે ગાયા કરે. એવું કંઇ સાંભળેલું તમે કોઇ માણસ બોલતો હોય એવું ? પ્રશ્નકર્તા : ઘણાંય બોલતા હોય છે. દાદાશ્રી : બધાય આ બોલે, આ જ બોલે છે. જાણેલું અવશ્ય થવું જ જોઇએ અને ના થાય તો જાણવું કે એણે જાણ્યું જ નથી. અને વિચારેલું જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય. એ તો જડ જ્ઞાન કહેવાય. જડ વિચારોથી જે ઉત્પન્ન થાય એ તો જડ છે. વિચારો જ જડ છે. પ્રશ્નકર્તા : જ્ઞાન આ સહજ રીતે જે આવતું હશે કે સહજ રીતે થતું હશે એનું શું કારણ ? દાદાશ્રી : એને બધું આગળ છે તે બીજા ભવોનો બધો માલ ભરેલોને, (પા.૬૦)તે બધો સમજી સમજીને ભરેલો. તે સહજ રીતે ઉત્પન્ન થાય. સમજીને-જાણીને મહીં ભરેલો માલ. વિચારે કરીને જાણેલું એ કામ લાગે નહીં. સમજીને ભરેલું હોય તો કામ લાગે. પ્રશ્નકર્તા : તે આ સમજીને ભરેલું હોય તો એ સહજમાં આવી જાય ? દાદાશ્રી : સહજમાં આવે તો જ એ વિજ્ઞાન કહેવાય, નહીં તો વિજ્ઞાન જ ના કહેવાય. નિરાલંબ થયે, પ્રજ્ઞા પૂર્ણ ક્રિયાકારીપ્રશ્નકર્તા : વિચાર કરનારો વિચાર કરતો હોય ત્યારે જોનારો કોણ હોય ? દાદાશ્રી : જોનારો આત્મા છે. ખરેખર તો આપણી જે પ્રજ્ઞાશક્તિ છે ને, તે જ બધું જોનારી. એ જ આત્મા છે. પણ તે આત્મા જાતે જોતો નથી, પોતાની શક્તિ છે તે કામ કરે છે. તે જુએ એટલે થઈ ગયું. તમે જ્ઞાતા-દ્રષ્ટા થયા. એટલે એ તો પ્રજ્ઞા છે, મૂળ આત્માનો ભાગ, એનાથી બધું જોઈ શકાય. તમારામાં પ્રજ્ઞા ઉત્પન્ન થયેલી છે. પણ હજુ નિરાલંબ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફૂલ કામ કરે નહીં. તમારે હજુ તો ગાંઠોમાં જ ફરતું હોય ને ! આ તો ગ્રંથિઓ છેદાઈ જાય ત્યારે કામ આગળ ચાલે. પ્રશ્નકર્તા : ત્યારે શું વિચાર કરનારો આત્મા નથી ? દાદાશ્રી : મૂળ આત્માએ વિચાર કર્યો જ નથી. કોઈ દહાડોય આત્માએ વિચાર કર્યો જ નથી. એ વ્યવહાર આત્માની વાત છે. એવું છે, વ્યવહાર આત્માને નિશ્ચય આત્માથી જોયા કરવો. વ્યવહાર આત્મા શું કરી રહ્યો છે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : એક સાથે બે ક્રિયા થઈ શકે ? દાદાશ્રી : એક જ ક્રિયા થઈ શકે. પેલી તો ક્રિયા એની મેળે સહજ થયા જ કરે છે. આપણે જોયા કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ બીજું તો થયા જ કરે છે. એમાં ના જુઓ તો તમારું જોવાનું જતું રહે. એટલે (આપણે) (પા.૬૧)જોનારાએ (જોવાનો) પુરુષાર્થ કરવાનો છે. પેલું તો થયા જ કરે છે. ફિલ્મ તો ચાલુ જ છે. એમાં તમારે કશું કરવું ના પડે. એ એની મેળે સહજ ચાલ્યા કરે છે. જેમ જેમ વિચારોને જ્ઞેય બનાવશો તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થશે. તમે વિચારોને જ્ઞેય તરીકે જુઓ એ શુદ્ધાત્માનું વિટામીન છે. વિચાર જ ના આવે એ શું જુએ ? પછી એને વિટામીન શી રીતે મળે ? મન વશ થાય, જ્ઞાનથીજ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ એ જ્ઞાન, એ ભાન છે ત્યાં સુધી મન જોડે લેવાદેવા છે. ત્યાં સુધી મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહી. જ્ઞાતા-દ્રષ્ટાપદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. પ્રશ્નકર્તા : મન વશ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટાપદ સ્વાભાવિક વસ્તુ થઈ જાય ? દાદાશ્રી : મન વશ જ થઈ ગયેલું છે આપણને, હવે પ્રેક્ટિસ કરવાની જરૂર. મારી પાસે વાત સાંભળેને, તેમ તેમ મજબૂત થતું થાય, અમારા વચનબળથી. અમારું વચનબળ કામ કર્યા કરે. પ્રશ્નકર્તા : તે હજુ અમારું મન વશ રહેતું નથી, તો મન વશ કરવા માટેનો પુરુષાર્થ કયો હોય છે ? દાદાશ્રી : એ જ્ઞાનથી વશ વર્તે. અમારું જે જ્ઞાન આપ્યું છે, એ મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોનાં મન વશ વર્તે. પ્રશ્નકર્તા : નહીં દાદા, પહેલું અમને અમારું મન વશ વર્તવા દો. દાદાશ્રી : તમને પહેલું તમારું મન વશ વર્તશે ને તમને તમારું મન વશ વર્ત્યું એટલે બીજા લોકોનાં મન પણ તમને વશ વર્તે. જેટલાં બીજાનાં મન વશ તમને વર્ત્યાં, એટલું તમને તમારું મન વશ વર્ત્યું. બહારના પરથી પછી (પા.૬૨)તમારું માપી જોવું. પ્રશ્નકર્તા : એનો ટેસ્ટ એ છે કે અમારું મન અમને વશ વર્તે, તો બીજાનું મન અમને વશ વર્તે ? દાદાશ્રી : હા, બીજા કેટલાનાં મન તમને વશ વર્તે છે, કેટલે અંશે વશ વર્તે છે, તે બધું તમારે માપી જોવું. મન વશ વર્તેની નિશાનીપ્રશ્નકર્તા : આ સામાનું મન વશ વર્તે તે વિશે જરા વિસ્તરણથી દાખલા સાથે કહો ને, તો બધા એક્ઝેટલી (જેમ છે તેમ) સમજશે. દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, કે ત્યાં દશ માણસો પીએચ.ડી. હોય, દશ માણસો ગ્રેજ્યુએટ થયેલાં, દશ માણસો મેટ્રિક થયેલાં, દશ માણસો ગુજરાતી જ ભણેલાં, દશ માણસો બિલકુલ ભણેલાં જ નહીં, દશ નાના છોકરાંઓ દોઢ-બે વર્ષનાં, દશ ઘરડાં ડોસા સાંઠ-પાંસઠ વર્ષનાં, એ બધાં ભેગાં થઈને જાય તો ત્યાં ધર્મ છે. એટલે જ્યાં આગળ નાનાં બાળકોય બેસી રહે, સ્ત્રીઓ બેસી રહે, ઘૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. સામાનું મન વશ તો પોતાનું મન વશ થયેલું હોય તો જ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે ત્યાં કામ થાય ! મન વશ થાય તો તમે બધું જ કરી શકો. લોક તમારા કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો તમે શીખવાડવા જાવને તો કોઈ અક્ષરેય નહીં શીખે ને ઊંધો ચાલશે. આ કળિયુગની હવા એવી છે કે ઊંધું ચાલવાનું. કોઈ ઊંધું ચાલ્યો હોય તે, એ ઊંધું-ચત્તું બોલે તોય અમે સાથ ના છોડીએ. સર્વેના મન વશ વર્તે, જ્ઞાનીનેપ્રશ્નકર્તા : દાદા, આટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે થતું હશે ? (પા.૬૩)દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસો અભેદતા રાખે છે ! આપણા મહાત્માઓના મન અમને વશ વર્તે છે કે જેને ચોવીસેય કલાક દાદા સિવાય બીજું કંઈ નહીં. અને હું કહું એટલું જ કર્યા કરે. સ્ત્રીઓ અને પુરુષો, બધાયનાં. એમાં સ્ત્રીઓના વધારે રહ્યાં કરે. સ્ત્રીઓ તો સાહજિક છે. સાહજિક એટલે જો સહજ થયા હોય તો જ વશ વર્તે, નહીં તો વશ વર્તે નહીં ને ! પ્રશ્નકર્તા : સ્ત્રીઓને બધા ડખા નહીં ને ? સમર્પણથી સ્ત્રીઓને વહેલું પહોંચી જવાય ને ? દાદાશ્રી : પણ સ્ત્રીઓને જ મન વશ કરવું સહેલું નથી. પુરુષને તો સહેલું છે, સ્ત્રીઓને બહુ અઘરું છે. કારણ કે એ મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. પ્રશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ? દાદાશ્રી : બધી જ ખબર પડે ને કે આ માણસનું સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્તે એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય ! સાહજિક વાણી, માલિકી વગરનીપ્રશ્નકર્તા : સાહજિક વાણી એટલે શું ? દાદાશ્રી : જેમાં કિંચિત્માત્ર અહંકાર નથી તે. આ વાણીનો હું એક સેકન્ડ પણ માલિક થતો નથી એટલે અમારી વાણી એ સાહજિક વાણી છે. પ્રશ્નકર્તા : અમારી વાણીમાં તો સાહજિકતા નથી. એને છૂટી મૂકી દઈએ છીએ તો મારામાર કરે છે અને બ્રેક મારીએ છીએ તો અંદર તોફાન થાય છે. દાદાશ્રી : તમારે કશું કરવાનું નહીં. છૂટી મૂકવાની નહીં કે બ્રેક મારવાનું (પા.૬૪)નહીં. એ તો ખરાબ બોલાય ત્યારે આપણે ‘ચંદુભાઈ’ને એમ કહેવું કે, ‘ચંદુભાઈ, આવું ના શોભે. તમે અતિક્રમણ કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો.’ ‘આપણે’ તો છૂટા જ રહેવાનું. કર્તા ‘ચંદુભાઈ’ છે અને ‘તમે’ જ્ઞાતા-દ્રષ્ટા છો, બેનો વ્યવહાર જ જુદો છે. પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી ‘ચંદુભાઈ’નું કામ બરાબર એક્ઝેક્ટ થાય ? દાદાશ્રી : બહુ સુંદર, એક્ઝેક્ટલી આવી જાય છે. પ્રશ્નકર્તા : કંઈ પ્રયત્ન કર્યા વગર એકઝેક્ટલી આવી જાય ? દાદાશ્રી : પ્રયત્ન કરવાથી જ બગડે છે. ‘ચંદુભાઈ’ બધો પ્રયત્ન કરશે. આ હું ટેપરેકર્ડ શાથી કહું છું ? એ સાહજિક વસ્તુ છે. એમાં હું હાથ ઘાલતો નથી. એટલે પછી ભૂલ વગરની નીકળે છે. આવી કેટલીય ‘ટેપો’ ભરાઈ છે અને તમારે એક ‘ટેપ’ ભરવાની હોય તો ઊંધું-ચત્તું કરી લાવો. કારણ કે સાહજિકપણું છે નહીં. સાહજિકપણું આવવું જોઈએ ને ? સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે, એને કર્તા રહેવા દો અને જ્ઞાતા છે, એને જ્ઞાતા થવા દો. ‘જેમ છે એમ’ થવા દો, તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે. બંને પોતપોતાની ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે અને ‘ચંદુભાઈ’ ‘ચંદુભાઈ’ની ફરજ બજાવે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહેવો જોઈએ. દેહ કઈ બાજુ રહે છે, દેહના શા શા ચેનચાળા છે, એ દેખાવું જોઈએ. વાણી કઠોર નીકળે છે કે સુંવાળી નીકળે છે, એ પણ તમને દેખાવું જોઈએ. પણ તેય રેકર્ડ છે, એ દેખાવું જોઈએ. કઠોર બોલવું કે મધુરી વાણી બોલવી, એ બધાં વાણીનાં ધર્મો છે અને આ પાંચ ઇન્દ્રિયોનાં ધર્મ, આ બધા ધર્મને જાણ્યા કરવું. એ જ કામ કરવા માટે આ મનુષ્ય અવતાર છે. એ બધા ધર્મો શું કરી રહ્યા છે, એને જાણ્યા કરવું. બીજી બાબતમાં પડવા જેવું નથી. અને ત્યારે જ મનની સહજતા, વાણીની સહજતા, શરીરની સહજતા (પા.૬૫)આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતા છૂટતા સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ જ છે અને આની દેહની સહજતા આવી ગઈ. સંસાર, તે અહંકારની ડખલદેહ સહજ એટલે સ્વભાવિક એમાં આપણી ડખલ ના હોય. અહંકારની ડખલ ના હોય, એ સહજ દેહ કહેવાય. આ અમારો દેહ સહજ થયેલો કહેવાય એટલે આત્મા સહજ જ હોય. અહંકારની ડખલ સમજ્યા તમે ? અહંકાર ઊડે એટલે બધું ગયું. આ સંસાર બધોય ઈગોઈઝમને લઈને છે. બધો ઈગોઈઝમનો જ આધાર છે. બીજું કશું જ નડતું નથી, આ ઈગોઈઝમ નડે છે. ‘હું’, ‘હું’ ! જેટલો સહજ તેટલી સમાધિપ્રશ્નકર્તા : એ તો આપે દેહ સહજનો પ્રકાર કહ્યો, પણ એ સહજ ક્યારે થાય ? દાદાશ્રી : સહજ તો આપણને આ જ્ઞાન જે આપ્યું છેને, તે જ્ઞાનમાં પરિણામ પામીને આ બધા કર્મો ઓછા થઇ જાય, એટલે પોતે સહજ થતો જાય. સહજ થઇ રહ્યો છે અત્યારે, પણ અંશે થઇ રહ્યો છે. તે અંશે અંશે સહજ થતો થતો સંપૂર્ણý સહજ થઇ જાય. અત્યારે સહજ ભણી જ જઇ રહ્યો છે. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જતો જાય. એટલે અત્યારે સહજ જ થઇ રહ્યો છે. જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય. દેહને કોઇ કંઇ પણ કરે તો આપણને રાગ-દ્વેષ ન થાય. આ અમારો દેહ સહજ કહેવાય છે. તમારે અનુભવમાં જોઇ લેવાનું. અમને રાગ-દ્વેષ થતા નથી, માટે અમારો દેહ સહજ છે. માટે સહજ કોને કહેવાય, સમજી લેવાનું. સહજ એટલે સ્વભાવિક. કુદરતી રીતે સ્વભાવિક. એમાં વિભાવિક દશા નહીં, ‘પોતે હું છું’ એવું ભાન નહીં. રક્ષણથી અટકયું સહજપણુંપ્રશ્નકર્તા : દેહાધ્યાસ ક્યારે જાય ? (પા.૬૬)દાદાશ્રી : ગજવું કાપી લે ને તમને અસર ના કરે તો દેહાધ્યાસ ગયો. દેહને કોઈ કંઈ પણ સળી કરે ને જો પોતે સ્વીકારે તો તે દેહાધ્યાસ છે. ‘મને કેમ કર્યું ?’ તો તે દેહાધ્યાસ. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. પ્રશ્નકર્તા : જ્ઞાન પછી એ સાહજિકતા કેવી હોય એ સમજાવો ને ! દાદાશ્રી : ઉદય આવેલો એટલું જ કરે. પોતાપણું ના રાખે. લોકોનું તો હજુ પોતાપણું કેવું છે ? પ્રકૃતિનું રક્ષણ કરવાની તો વાત છે જ, પણ ઊલટું ‘એટેક’ હઉ કરે છે, સામા ઉપર પ્રહાર હઉ કરે છે. એટલે આ મોટું પોતાપણું કાઢવાનું છે ને ! પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આપણા મહાત્માઓ કરતા હશે ખરા ? તેથી જ સહજ થતું નથી, બળ્યું. આ તો જરાક અપમાન કરે તે પહેલાં રક્ષણ કરે, જરાક બીજું કંઈ કરે ત્યાં રક્ષણ કરે. એ બધું સહજપણું થવા જ ના દે ને ! અપમાન કરનારો ઉપકારીમૂળ વસ્તુ પામ્યા પછી હવે અહંકારનો રસ ખેંચી લેવાનો છે. કોઈ રસ્તે ચાલતા કહે, ‘અરે, તમે અક્કલ વગરના છો, સીધા ચાલો.’ એ વખતે અહંકાર ઊભો થાય, રીસ ચઢે. એમાં રિસાવાનું ક્યાં રહ્યું ? આપણને હવે રીસ ચઢવા જેવું રહેતું જ નથી. અહંકારનો જે રસ છે તે ખેંચી લેવાનો છે. બધાંને અપમાન ના ગમે, પણ અમે કહીએ છીએ કે એ તો બહુ હેલ્પીંગ છે. માન-અપમાન એ તો અહંકારનો મીઠો-કડવો રસ છે. અપમાન કરે તે તો તમારો કડવો રસ ખેંચવા આવ્યો કહેવાય. ‘તમે અક્કલ વગરના છો’ એમ કહ્યું એટલે એ રસ સામાએ ખેંચી લીધો. જેટલો રસ ખેંચાયો એટલો અહંકાર તૂટ્યો અને એ પણ વગર મહેનતે બીજાએ ખેંચી આપ્યો. અહંકાર તો રસવાળો છે. જ્યારે અજાણતાં કોઈ કાઢે ત્યારે લ્હાય બળે. એટલે જાણીને સહેજે અહંકાર કપાવા દેવો. સામો સહેજે રસ ખેંચી આપતો હોય એના જેવું તો વળી બીજું શું ? સામાએ કેટલી બધી હેલ્પ કરી કહેવાય ! (પા.૬૭)માનમાં ખોટ - અપમાનમાં નફોપ્રશ્નકર્તા : દાદા, આ પૂજાવાની જે ભીખ છે એ કઈ રીતે જાય ? કઈ રીતે એની સામે એડજસ્ટમેન્ટ લેવું ? ઉપયોગ કેવી રીતે રાખવો ? દાદાશ્રી : એ તો અપમાનની ટેવ પાડી દઈએ ત્યારે. પ્રશ્નકર્તા : પ્રાપ્ત કરવી છે અયાચક દશા અને દરેક બાબતની આ ભીખ પડેલી છે મહીં. દાદાશ્રી : અયાચકપણું તો જવા દો ને, પણ ભીખ છૂટે તોય બહુ થઈ ગયું. આ ભીખ તો હવે આપણે કોઈના કંપાઉન્ડમાં થઈને જતા હોઈએ ને એ માણસ ગાળો દે એવો હોય તો રોજ ત્યાં થઈને જવું, રોજ ગાળો ખાવી પણ ઉપયોગપૂર્વક સહન કરવું જોઈએ. નહીં તો એને એ ટેવ પડી જાય પેલી, લીહટ થઈ જાય. પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક સહન કરવું એટલે શું ? દાદાશ્રી : આપણી બેનને ઉઠાવી ગયેલો હોય, તે ઉઠાવી ગયેલો હોય તેની ઉપર પ્રેમ હોય આપણને ? શું હોય ? પ્રશ્નકર્તા : દ્વેષ હોય. દાદાશ્રી : તે ઊંઘમાં હોય કે ઉપયોગપૂર્વક હોય ? હંડ્રેડ પરસેન્ટ ઉપયોગપૂર્વક હોય, બિલકુલ ઉપયોગપૂર્વક હોય. પછી ચોરી કરવા જાય તે ઉપયોગપૂર્વક જાગૃતિ રાખી હશે કે ઊંઘતો હશે ? પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક હોય. દાદાશ્રી : માટે ઉપયોગ સમજી જાવ. અહીં મોક્ષમાર્ગમાં તો ઉપયોગવાળા કામમાં લાગે. કોઈ અપમાન કરે ત્યારે મોઢું બગડી ગયું છે એવી ખબર પડે, તો નફો-ખોટ ના જાય. નો લોસ, નો પ્રોફિટ. અને બહાર મોઢું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદ્ગલને, આત્માને નહીં. અને બહાર (પા.૬૮)મોઢું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાયને ? પ્રશ્નકર્તા : મોઢું બગાડ્યું તો પુદ્ગલને શું ખોટ જાય ? દાદાશ્રી : પુદ્ગલને તો ખોટ ગયેલી જ ને ! પ્રશ્નકર્તા : પણ એને જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોઢું ના બગડ્યું. દાદાશ્રી : કેટલાક અપમાન થયું કે એનું જો આજે મોઢું ચઢી જાય તો પોતાને ખબર પડે. હું પૂછું પછી કે તને પોતાને ખબર પડી છે ? ત્યારે કહે, હા, પડી છે. પણ શી રીતે સમું કરે ? છતાં એ સમું કરવું. છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે. જાગૃતની દ્રઢતા કાજેપ્રશ્નકર્તા : અમારી કચાશ ક્યાં રહી જાય છે ? દાદાશ્રી : એટલી શક્તિ, એટલી જાગૃતિ ઉત્પન્ન થઇ નથી. જાગૃતિ નિર્બળ છે. ક્ષણે ક્ષણની જાગૃતિ જોઇએ. અમને એક ક્ષણ પણ કોઇ દોષિત નથી દેખાતો. દોષિત લાગે છે એની તો આ બધી ભાંજગડ છે. કારણ કે આ વિજ્ઞાન જ એવું છે. કોઇ દોષિત છે જ નહીં. અને દોષિત દેખાય છે તે જો દોષિત દેખાય તો ઉપવાસ કરવો જોઇએ. ચંદુભાઇને કહેવું કે ઉપવાસ કરજે. પ્રશ્નકર્તા : બીજે દિવસ કોઇ દોષિત ના દેખાય ? દાદાશ્રી : દોષિત છે નહીં. પ્રશ્નકર્તા : ઉપવાસ કરે પછી બીજે દિવસે કોઇ દોષિત ના દેખાય ? દાદાશ્રી : ના, આપણે ઉપવાસ કરવાનું કહેવાનું કારણ શું છે કે એટલી મજબૂતી રાખવી જોઇએ આપણે, સ્ટ્રિક્ટ થવું જોઇએ. સ્ટ્રિકનેસ રાખવી જોઈએ, નિર્દય નહીં થવું જોઈએ. (પા.૬૯)કોઈના અહમ ને છંછેડો નહીંપ્રશ્નકર્તા : દાખલા તરીકે મારે ઇન્કમટેક્ષમાં એક ફાઈલ બાકી છે. હવે ઇન્કમટેક્ષના ઓફિસરને આ જ્ઞાન નથી, એટલે એને અહંકાર છે. હવે એ અહંકારે કરીને મારું બગાડી શકે ખરો ? દાદાશ્રી : ના, તમારું કશું ના બગાડે, તમે એનો અહંકારે કરીને જો જવાબ ન આપો તો. પ્રશ્નકર્તા : હું એની પાસે જતોય નથી. મારે એની પાસે જવાની જરૂર નથી પણ આ ફાઈલ રૂટિનમાં આવે છે. દાદાશ્રી : એનો વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ એ અહંકારી ઓફિસર હોય તો મને કંઈ કરી ન શકે ? દાદાશ્રી : એને સંડાસ જવાની શક્તિ નથી તો તમને શું કરે ? તમારું ક્યારે કરે કે તમે કહો કે એવા ઓફિસરને હું જોઈ લઈશ. પ્રશ્નકર્તા : એવું તો કોઈ કરે નહીં. દાદાશ્રી : હા, તમે સહજ છો, નમ્ર છો, તો તમને કંઈ ન થાય. તમે કંઈ ગોદા મારતા નથી. ત્યાં વ્યવસ્થિતમાં કોઈ ફેરફાર ના થાય. એની શક્તિ જ નથી, બિચારાની ! પ્રશ્નકર્તા : હવે એક તરફથી એની સંડાસ જવાની શક્તિ નથી કહો છો અને બીજી તરફથી કહો છો એને અહંકાર છે. દાદાશ્રી : એ તો ગોદો મારીએ તો. એ સામો ગોદો મારવાની એની શક્તિ છે. એટલે કોઈ શબ્દને આપણે ઉછાળવા ના જોઈએ. ત્યારે આવશે ઉકેલપ્રશ્નકર્તા : આ સંસારમાં ડખોડખલ કર્યા વગર કેમ નહીં રહેવાતું હોય ? (પા.૭૦)દાદાશ્રી : એની પ્રેક્ટિસ છે એ તો. પ્રેક્ટિસને બંધ કરવી પડે કે હવે ડખોડખલ ક્યારેય પણ નહીં થાય એવું. એવી એ ચાવી વાગ વાગ કરે ત્યારે પછી બીજો કંઈ થોડો-ઘણો માલ હોય તે નીકળી ગયા પછી બંધ થાય. પ્રશ્નકર્તા : કારણ કે આપણે સહજ થવું હોય અને જોયા કરવું હોય તો ડખોડખલ કામની નહીં બિલકુલ. દાદાશ્રી : એ તો પહેલાંનો માલ ભરેલો, નીકળ્યા વગર રહે નહીં. ભરેલો માલ તો ફૂટ્યા વગર રહે જ નહીં ને ! ભરેલો માલ ના ગમતો હોય તોય નીકળ્યા કરે. તેને આપણે જોઈએ તો સહજ છીએ. પેલું (પ્રકૃતિ) સહજ થશે, બન્ને સહજ થશે ત્યારે ઉકેલ આવશે. પણ અત્યારે તો એક સહજ થયા તોય બહુ થઈ ગયું. (પા.૭૧)[6] અંતઃકરણમાં ડખલ કોની ?બુદ્ધિ કરાવે અસહજતાપ્રકૃતિ સહજ ક્યારે થાય ? બુદ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યાં, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે ‘તમે ઘેર રહો, અમારે જરૂર નથી.’ તેને પેન્શન આપી દેવાનું. બુદ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે, એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે ! આ કૂતરું દેખ્યું, તો બુદ્ધિ કહેશે, ‘કાલે પેલાને કરડેલું, તે આય એવું જ કૂતરું દેખાય છે, મનેય કરડી જશે તો ?’ અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? ‘વ્યવસ્થિત’માં હશે તો કૈડશે. બુદ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરું ના કરત ? પણ પાંસરું થયું નથી. બુદ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ રહેવાનું. કરો ડીવેલ્યુ, એકસ્ટ્રા બુદ્ધિનીઆ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર જે અંતઃકરણ રૂપે છે એનો વાંધો નહીં, પણ આ તો વધારાની એક્સ્ટ્રા બુદ્ધિ છે તે કામની જ નથી. આ સંસાર જ બુદ્ધિનો ડખો છે. બુદ્ધિ ના ઊભી હોત તો સંસાર રહેત જ નહીં. અમારી બુદ્ધિ ખલાસ થયેલી. એટલે અમને બુદ્ધિ ઉપરનું જ્ઞાન હોય. (પા.૭૨)બુદ્ધિ અમારી ખલાસ થઈ ગયેલી હોય. અમને બુદ્ધિ ના હોય, અમે અબુધ હોઈએ. આ અમારી સહજતા જ્ઞાનપૂર્વકની હોય. પ્રશ્નકર્તા : બધી કુશળતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જોઈએ કે સહજતાથી પણ પ્રાપ્ત થાય ? દાદાશ્રી : સહજતાથી વધારે પ્રાપ્ત થાય. બુદ્ધિથી ગૂંચવાડો ઊભો થાય તેમ છતાં બુદ્ધિ નકામી નથી. બુદ્ધિ પછી ઉકેલ લાવે. સહજતા કરતા વધારે સારો ઉકેલ લાવે પણ પહેલા બહુ ગૂંચવાડો આવે. અને સહજતા બહુ હિતકારી વસ્તુ છે. પ્રશ્નકર્તા : બુદ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ? દાદાશ્રી : એ તો એની મેળે બુદ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુદ્ધિ વધતી ગઈ. પ્રશ્નકર્તા : બુદ્ધિનો જે મળ હોય, બુદ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ? દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. હજુ તો બુદ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે અને હજુ બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢ્યા છે. આ તો બુદ્ધિને જ ખેડ ખેડ કરી છે. પછી ખાતર નાખો. એ બુદ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢ ડાહ્યા છે. બુદ્ધિનો ઉપયોગ વધારે પડતો કર્યો. પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર પણ જે સીધા- સાદા, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ તેનો ડિફરન્સ (ફેર) શું ? દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુદ્ધિપૂર્વક (પા.૭૩)કરતા હતા અને આ સહજભાવે ક્લેશનો અભાવ રહે. આમાં કર્તાપણું છૂટી જાય. સમજ સમાવે બુદ્ધિનો ડખોપ્રશ્નકર્તા : તો બુદ્ધિ ખલાસ કરી આપો. બુદ્ધિનો પનો ટૂંકો પડે છે, આપ્તવાણી સમજવા માટે. દાદાશ્રી : એટલે બુદ્ધિ જોડે થોડી સમજણ લાવવાની છે. જે જ્ઞાન કહેવાય નહીં અને બુદ્ધિ કહેવાય નહીં, એવી સમજણ લાવી આપો. બુદ્ધિમાં કહેવાય નહીં અને જ્ઞાન કહેવાય નહીં, સમજણ. એ સમજણ પૂરી થાય, એને જ્ઞાન કહેવાય છે. બુદ્ધિની ડખલે આવરાયો આનંદબુદ્ધિ ગયા પછી આનંદ ખૂબ વધતો જાય. આ આનંદનું ધામ જ છે પણ બુદ્ધિ ડખલ કરે છે વચ્ચે. પ્રશ્નકર્તા : આ આનંદનું ધામ છે એ શું ? દાદાશ્રી : મેં જે આપ્યું છે એ આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. બુદ્ધિ આવે એટલે ડખલ કરે. જે બુદ્ધિ સંસારમાં હેલ્પ કરતી’તી... પ્રશ્નકર્તા : એટલે રિએક્શનરી જે આનંદ છે તે એવો આનંદ થતો નથી પણ એનાથી ઊંચો આનંદ થાય છે એમ ? દાદાશ્રી : ના, ઊંચો એટલે મૂળ આનંદ સ્વરૂપ જ છે. આનંદ જ આપેલો છે તમને, પણ એમાં આ બુદ્ધિ જે સંસારમાં મોટા બનાવતી’તી, જે બુદ્ધિ આપણને મજબૂત રીતે મોટો ધંધો દેખાડતી’તી, તે બુદ્ધિ અત્યારે નડી રહી છે. પણ જેટલા બુદ્ધિશાળી, બુદ્ધિના ધર્મ છે અહીંયાં હિન્દુસ્તાનમાં, એમાં કોઈ મોક્ષનો માર્ગ નથી. બુદ્ધિ એટલે મોક્ષથી છેટા અને મોક્ષમાં ક્યારેય ના જવા દે, એનું નામ બુદ્ધિ. પ્રશ્નકર્તા : બુદ્ધિ એ વધારે બંધાવાનો માર્ગ છે ? (પા.૭૪)દાદાશ્રી : સંસારમાં રૂપાળું કરી આપે, બહુ ફર્સ્ટ કલાસ રૂપાળું કરી આપે પણ ત્યાં ના જવા દઉં, કહે છે. એટલે આ બાજુ બુદ્ધિની ખેંચ છે ને, આ બાજુ પ્રજ્ઞાની ખેંચ છે. પ્રજ્ઞા કહેતી હોય, હાર્ટિલી માણસ હોય, તેને હું હેલ્પ કરીશ, ઉપર લઈ જઈશ, ઠેઠ લઈ જઈશ, મોક્ષે લઈ જઈશ. અમારામાં બુદ્ધિ જતી રહી તેથી અમારું હાર્ટ આટલું બધું પ્યૉર હોય ને, પ્યૉર જ. મને કહેતા’તા કે હાર્ટિલી વાણી... પ્રશ્નકર્તા : ‘હૃદીયે સ્પર્શી સરસ્વતી, આ વાણી લ્હાવો અનોખો છે.’ એવું છે કે વાણીની એવી અસર છે કે બુદ્ધિ જે પઝલ ઉકેલી ના આપે, તે આ વાણી ઉકેલી નાખે. દાદાશ્રી : પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય આ વાણી. ઉપાધિ ઊભી વિપરીત બુદ્ધિથીભાવ-નો-દ્રવ્યના જાળાં ખંખેરી જાણ, જો અબુધ અધ્યાસે ! અબુધ અધ્યાસ થાય તો એ જાળાં ખંખેરાશે, બુદ્ધિથી એ જાળાં પડી નહીં જાય. બુદ્ધિ તો એનું કામ કર્યા કરશે, પણ એને વાપરવાની નથી. આ તો સાપ હોય ત્યાં બુદ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને ‘વ્યવસ્થિત’ કહે છે, ‘જાને તું તારે, કોઇ કશુંય કરડવાનું નથી !’ તો નિરાકુળતા રહે. બુદ્ધિ તો સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઇ જાય છે, પણ આ તો વિપરીત બુદ્ધિ વાપરે છે કે વખતે સાપ કરડી જશે તો ! એ જ ઉપાધિ કરાવે છે. સમ્યક્ બુદ્ધિથી સર્વ દુઃખ કપાય અને વિપરીત બુદ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ (આમંત્રિત) કરે. બુદ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય, પણ આ તો દુરુપયોગ કરે છે, તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી. બુદ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી. સહજાસહજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે. આ તો ભોગવતાં નથી આવડતું, નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે; પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં (સંપર્કમાં) આવેલાં બધાં જાનવરોય દુઃખી થયાં છે. બીજા કરોડો જીવો છે છતાં દુખિયા એકલા (પા.૭૫)આ મનુષ્યો જ, કારણ કે બધાનો દુરુપયોગ કર્યો; બુદ્ધિનો, મનનો, બધાનો જ. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. આ સામે બહારવટિયો આવે તો ‘મારું શું થશે’ એવો વિચાર આ મનુષ્યોને જ આવે. ‘હું કેવી રીતે ચલાવીશ ? મારા વગર ચલાવશે જ કોણ ?’ એવી જે ચિંતા કરે છે એ બધા જ નિરાશ્રિત છે; જ્યારે પેલાં જાનવરો ભગવાનનાં આશ્રિત છે. તેમને તો ખાવા-પીવા આરામથી મળે છે. એમને ડૉક્ટર, હોસ્પિટલ એવું કશું જ નહીં અને એ લોકોને દુકાળ જેવુંય કશું નહીં. હા, આ મનુષ્યોના સંગમાં આવ્યાં તે જાનવરો - ગાય, બળદો, ઘોડા વગેરે પાછાં દુઃખી થયાં છે. ત્રણ પ્રકારની બુદ્ધિ : એક અવ્યભિચારિણી બુદ્ધિ, બીજી વ્યભિચારિણી બુદ્ધિ અને ત્રીજી સમ્યક્ બુદ્ધિ. આ ત્રણ પ્રકારમાં કોઇ અવતારમાં ય જિનનાં દર્શન કરેલાં હોય, તેને સમ્યક્ બુદ્ધિ ઉછરે. શુદ્ધ જિનનાં દર્શન કર્યા હોય અને ત્યાં શ્રદ્ધા બેઠી હોય તો બીજ નકામું જતું નથી, તેથી અત્યારે સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય અને પછી સહજ ભાવે મોક્ષ માર્ગ મળી આવે. બુદ્ધિ વપરાતા કોઝિઝ પડેમાણસ જે ક્રિયા કરે, તે ક્રિયાની હરકત નથી. એમાં બુદ્ધિ વપરાય કે તરત કોઝિઝ ઉત્પન્ન થાય. નહીં તો બુદ્ધિ વગરની ક્રિયા સહજ કહેવાય છે. બુદ્ધિ વપરાય કે કોઝ થયું. એટલે અહીં રાગ-દ્વેષ કર્યો ને કોઈ જોડે ક્રોધ કરે, માન કરે કે લોભ કરે, એમાં બુદ્ધિ વપરાયા વગર રહે નહીં અને એ કોઝિઝ ઉત્પન્ન થાય જ. બુદ્ધિ વપરાય ત્યારે ક્રોધ કરે ને ? સામો માણસ ગાળ દે ત્યારે બુદ્ધિ વપરાય કે મને દીધી, એમાં બુદ્ધિ વપરાઈ, તેને તરત ક્રોધ ઉત્પન્ન થઈ જાય. અને મારા જેવો બુદ્ધિ ના હોય તે ગાળ દે તોય શું ને ના દે તોય શું ? પેલા નાના છોકરાને આપણે કડવું પઈએ છે ને, એ મોઢું બગાડશે એ દ્વેષ કહેવાય, એય કોઝ કહેવાય અને સારી સારી વસ્તુ આપીએ તો એ ખુશ થઈ જાય છે, એય કોઝ કહેવાય. ખાવાનું એ કોઝ નથી. તાડગોળા તમે ખાઓ તોય કોઝ નથી. કોઝ ફક્ત ખરાબ બોલ્યા તો. તમને ખરાબ સાથે કામ શું છે ? હવે ખઈ લોને છાનુંમાનું. એ દોઢડાહ્યા બહુ હોય ને પણ ! (પા.૭૬)ન અનુસરો, બુદ્ધિની સલાહનેપ્રશ્નકર્તા : બુદ્ધિ હજી ડખોડખલ કરે છે તો શું કરવું ? દાદાશ્રી : બુદ્ધિ આ બાજુ ડખોડખલ કરે એટલે આપણે ત્યાંથી દ્રષ્ટિ ફેરવી લેવી. આપણને રસ્તામાં કોઈ ના ગમતો માણસ ભેગો થાય તો આપણે આમ મોઢું ફેરવી લઈએ છીએ કે નહીં ? એવું જ આપણામાં ડખોડખલ કરે છે, તેનાથી અવળું જોવું ! ડખોડખલ કોણ કરે છે ? બુદ્ધિ ! બુદ્ધિનો સ્વભાવ શો છે કે સંસારની બહાર નીકળવા ના દે. પ્રશ્નકર્તા : બુદ્ધિ સમાપ્ત ક્યારે થાય ? દાદાશ્રી : તમે એના ઉપર બહુ વખત જોશો નહીં, દ્રષ્ટિ ફેરવેલી રાખશો એટલે પછી એ સમજી જાય, એ પોતે બંધ થઈ જાય. એને તમે બહુ માન આપો, એનું ‘એક્સેપ્ટ’ કરો, એની સલાહ માનો, ત્યાં સુધી એ ડખોડખલ કર્યા કરે. ઈમોશનલ ત્યાં અસહજતાપ્રશ્નકર્તા : એટલે મૂળ વાત દાદા, અમે ઇમોશનલ ઓછા થઈએ તો અમારું કામ બરાબર થાય ? દાદાશ્રી : બિલકુલ ઇમોશનલ ના હોય તો બિલકુલ સરસ થાય, હંડ્રેડ પરસન્ટ કામ થાય. પ્રશ્નકર્તા : જેમ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પાયો એટલો ઇમોશનલ નથી, જેટલું ઇમોશનલ નથી એટલું જ્ઞાતા-દ્રષ્ટાપણું પાકું છે ? દાદાશ્રી : ઇમોશનલ હોય તો જ્ઞાતા-દ્રષ્ટાપણું કાચું. ઇમોશનલ બિલકુલ ના હોય તો જ્ઞાતા-દ્રષ્ટાપણું સંપૂર્ણ. એને સાહજિકતા કહેવાય. ઇમોશનલ થયેલો માણસ એ કોર્ટમાં પુરાવો આપેને, તો પેલો કલમ્ઝી આપે. કેવો આપે ? ઠેકાણા વગરનો, અને સાહજિક માણસ બહુ સુંદર આપે. પ્રશ્નકર્તા : કોર્ટમાં જે પુરાવો આપે છે, એ તો લુચ્ચો ને હોશિયાર (પા.૭૭)માણસ સારી રીતે આપે છે. દાદાશ્રી : એ પ્રેક્ટિકલ થયેલા છે. બીજા લોકોનું કામ નહીં. બીજા લોકો તો ઇમોશનલ થઈ જાય. પ્રેક્ટિકલ થયેલા જડ થઈ ગયેલા હોય. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં સહજતાપ્રશ્નકર્તા : અમારે વ્યવહારમાં સફળ થવા માટે કઈ દિશામાં જવાનું ? દાદાશ્રી : તમારે છે તો અહીં આગળ ઇમોશનલ થાય નહીં એવી દિશામાં જવાનું. પેલા તો ઇમોશનલથીય આગળ જડ થયેલા. એમને ઇમોશન ના હોય. પ્રશ્નકર્તા : હા પણ જીતે છે તે એવાં લોકો વ્યવહારમાં. એ સફળ થવા માટે જડ થવાનું ? દાદાશ્રી : એ નફ્ફટ થઈ ગયા. પ્રશ્નકર્તા : એટલે અમારે સફળ થવા માટે નફ્ફટ થવાનું ? દાદાશ્રી : ના, તમારે નફ્ફટ થવાનું તો પછી નીચે જશો. તમારે તો જ્ઞાતા-દ્રષ્ટા થવાનું છે. પ્રશ્નકર્તા : એટલે અમે ઇમોશનલપણું છોડી દઈએ એમ ? દાદાશ્રી : છોડી દેવાનું નહીં. એમ કશું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધું છૂટી જવાનું. છોડ્યું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા થઈએને તો છૂટી જાય. એક જ દા’ડો, રવિવારને દા’ડે, એક દા’ડો શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસો જોઈએ, બધું સરસ ચાલશે ! જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ફક્ત. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : હવે ચંદુભાઈ ખોટું કરે કે સાચું કરે એ જોવાનું ? દાદાશ્રી : ખોટું કરે કે ના કરે, એ ખોટું કે ખરું હોતું જ નથી. હવે ખોટું-ખરું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં ખોટું-ખરું નથી. નફો-ખોટેય (પા.૭૮)નથી ભગવાનને ત્યાં. પ્રશ્નકર્તા : તો અમારે સમાજ અને વ્યવહારના આધીન એવો જે ભાવ છે, અમારા જીવનનો વ્યવહાર ભાગ, તે કેવો રાખવો ? દાદાશ્રી : વ્યવહાર લોકો વખાણે, આદર્શ કહે એવો રાખવો. ‘ભઈ, આ ચંદુભાઈની વાત કરશો નહીં, બહુ સારા માણસ છે’ કહેશે. આ તો પોતાના ઘરમાં સારાં નહીં દેખાતાં. મૂઆ, પાડોશી સારા ના કહે એનો વાંધો નહીં પણ ઘરમાંય સારા દેખાતા નથી. પ્રશ્નકર્તા : પણ એનો ઉપાય શો ? દાદાશ્રી : આ કહ્યું તે જ, જ્ઞાતા-દ્રષ્ટા રહો. પ્રશ્નકર્તા : અમે જ્ઞાતા-દ્રષ્ટા તો રહીએ પણ ચંદુભાઈથી કામ ઊલટાં થતાં હોય, સુલટાં થતાં હોય અને પરિણામ બધા ખોટાં આવતાં હોય તો આપણે એ સાચવવા શું કરવાનું ? દાદાશ્રી : કશું સુધારી શકતો નથી. બગાડશો ઊલટાંનું. બગડેલું એંસી ટકા છે તે નેવું ટકા કરશો. પ્રશ્નકર્તા : ચંદુભાઈનું સુપરવિઝન કરવાનું અને ગાઈડન્સ આપવાનું, કશું કરવાનું નથી ? દાદાશ્રી : સુપરવિઝન એટલે ખાલી જોવાનું અને જાણવાનું. ગાઈન્ડસ-બાઈન્ડસ કશું આપવાનું નહીં. પ્રશ્નકર્તા : સુધારવાનું કે કોઈ કર્તાપદ લેવાનું નથી, સુધારવાનો કોઈ અવકાશ જ નથી ? દાદાશ્રી : સુધરે જ નહીં. સુધારવા જાય તો પોતે બગડે છે, ઊલટો. આ પુરુષોને એક દિવસ રસોડું સોંપોને, બધું જ બગાડી નાખે. કઢી-શાક બગાડે, પછી દાળ બગાડે, મરચું, મીઠું, શાકેય બગાડે, બધું બગાડી નાખે. કારણ કે મનમાં અક્કલવાળો, તે આમ વધુ પડશે, આમ થશે, તેમ થશે. (પા.૭૯)ઇમોશનલ થયો એટલે બગડ્યું. સાહજિકને કામ થાય સરળપ્રશ્નકર્તા : બૈરાં તો ૫૦ માણસની રસોઈ કરે, ૧૦૦ માણસોની રસોઈ કરવી હોય તો બધા પુરુષો (રસોઈયા) કરે છે. દાદાશ્રી : એ બધા તો સાહજિક થઈ ગયેલા. સાહજિક થયેલો તે એક્સપર્ટ થાય. પ્રશ્નકર્તા : એ તો અમારું કામ નહીં, એટલે બગડે છે ને, દાદા. અમે અમારા ધંધાના ફિલ્ડમાં એક્સપર્ટ હોઈએ. ચંદુભાઈને કોઈ ફિલ્ડમાં એક્સપર્ટ તો બનાવો પડે ને ? દાદાશ્રી : આપણે શું બનાવવો છે ? એ થઈને જ આવ્યો છે. પ્રશ્નકર્તા : તો પછી કયા ફિલ્ડમાં એક્સપર્ટ છે એ જાણવું તો પડશે ને ? જે ફિલ્ડમાં એક્સપર્ટ હોય, એ જાણીને એને કામે લગાડવો પડશે ને ? દાદાશ્રી : આપણે લગાડવાનો નહીં, એની મેળે બધું જ ચાલ્યા કરશે. ફિલ્ડ-બિલ્ડ બધું છે. તમે લાવેલા લોટને ફરી દળવાની જરૂર નહીં. આ મહીં આટલું મોટું સાયન્સ ચાલે છે ! એક જ દા’ડો જો જરા મહીં બાઈલ્સ કે બધું ઓછું પડે તો ખલાસ થઈ જાય. આ અંદર બહુ જબરજસ્ત ચાલે છે, સંભાળનારા. આ તો બહાર તો તમે નિમિત્ત માત્ર છો. તમારામાં ગાંડપણ ઉત્પન્ન થાય છે. આ હું છું, હું કરું છું. અરે, હું કશું કરતો નથી. તમારા હાથમાં એ બાઈલ્સને રેડવાનું કહ્યું હોત ને તો તમે વધારે રેડત. શું કરત ? કાલે સારું પચે. ભજીયાં ખાઈશું ને જલેબી-લાડવા ખઈશું. મહીં વધારે રેડે. દસ દા’ડા પછી બિલકુલ ખવાય નહીં એવું થઈ જાય. કારણ કે ક્વોટા એનો વધારે વાપરી નાખો. કુદરતે જે ક્વોટા નક્કી કર્યો છે તે બરોબર છે. સૂઝથી આવે નિકાલ સહજપ્રશ્નકર્તા : અમારે બુદ્ધિ ભેદ પાડી આપે છે કે આ સારું ને આ ખોટું ? (પા.૮૦)દાદાશ્રી : એ બુદ્ધિના ભેદ પાડેલા કામમાં જ નહીં લાગે. જાગૃતિના ભેદ પાડેલા કામ લાગશે. પ્રશ્નકર્તા : એ ના સમજાયું. દાદાશ્રી : બુદ્ધિ તો ઇમોશનલ કરાવે. તેના ભેદ પાડેલા આપણને શું કામ લાગે ? જ્ઞાન જ ઇટસેલ્ફ (સ્વયં) ભેદ પાડે છે કે આ ના હોય ને આ ખરું, એ સૂઝ જ પાડ્યા કરે. આગળ આગળ સૂઝ પાડ્યા કરે છે. અને મનનાં ડિસ્ચાર્જમાં કશું આદરવા યોગ્ય છે જ નહીં. જે આદરવા યોગ્ય છે એ એની મેળે સહજ થઈ જાય છે. જ્ઞાનજાગૃતિ, જે સૂઝ છે તે બધું જુદું જ પાડી દે છે. બુદ્ધિ કે પ્રજ્ઞા, ડિમાર્કેશન શું ?પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ? દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને ‘ઈમોશનલ’ કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે ‘હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.’ સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. અંતઃકરણ, એ પાછલા પરિણામપ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પર આપણો પ્રભાવ પડવો જોઈએને ? દાદાશ્રી : મશીનરી પર કોઈ દહાડોય પ્રભાવ પડતો નથી, એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પર પ્રભાવ પડે જ નહીં. એ તો અંતઃકરણ ખાલી થઈ જાય એટલે એની મેળે બધું ઠેકાણે આવી જાય. (પા.૮૧)અક્રમ માર્ગના મહાત્માઓને અંતઃકરણની સ્થિતિ કેવી રહે ? તેમને ડખોડખલ બંધ થઈ ગયા હોય. પણ પાછલાં પરિણામ આવે છે ત્યારે પોતે ગૂંચાઈ જાય છે કે ‘મારા’ જ પરિણામ છે. જ્યારે મને પૂછે કે, ‘પોતાનાં પરિણામ કે બીજાનાં ?’ તો હું કહું કે, ‘આ તો બીજાનાં પરિણામ છે.’ આમને સાથ ન આપીએ અને એને ‘જોયા’ જ કરીએ તો આપણે છૂટા જ છીએ. એટલો વખત આપણે એને જોયા કરીએ, તેટલો વખત ચિત્તની શુદ્ધિ થયા કરે. ચિત્ત એકલું જ જો રાગે પડી ગયું તો બધું રાગે આવી જાય. અશુદ્ધિ ચિત્તને લઈને ભટક ભટક કરે છે એટલે ચિત્તની શુદ્ધિ થતાં સુધી જ આ યોગ બરોબર જમાવવાનો છે. અહંકારની સહી વગર ના થાય કંઈપ્રશ્નકર્તા : અહંકાર હંમેશાં અવરોધકારક કે ઉપયોગી પણ ખરો? દાદાશ્રી : અહંકાર વગર તો આ દુનિયામાં આ વાતેય લખાય નહીં. આ ચીઠ્ઠી લખવી હોયને, તેય અહંકારની ગેરહાજરીમાં ના લખાય. અહંકાર બે પ્રકારના. એક ડિસ્ચાર્જ થતો અહંકાર, જે ભમરડા જેવો છે અને બીજો ચાર્જ થતો જીવતો અહંકાર, જે શૂરવીર જેવો છે. લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાનાં તો હાથમાં કશુંય નહીં બિચારાનાં, જેમ ભમરડો ફરે. એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં. પણ એ અહંકાર ડિસ્ચાર્જ થતો છે. તમને હેરાન ના કરે. અહંકાર વગર તો કાર્ય જ ના થાય. આપણે બોલવું પડે ખરું કે હું સંડાસ જઇ આવ્યો, મારે સંડાસ જવું છે. એ ડિસ્ચાર્જ અહંકાર સહી કરે તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય ના થાય. અહંકારથી ચિંતા, ચિંતાથી...સંસારમાં બાય પ્રોડક્ટનો અહંકાર હોય છે તે સહજ અહંકાર છે, જેનાથી સહજાસહજ ચાલે એવું છે. ત્યાં આખું અહંકારનું કારખાનું જ કાઢ્યું અને અહંકાર વિફર્યો, એટલો મોટો વિસ્તાર્યો કે ચિંતાઓનો પાર નહીં. અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી આ સંસાર ચાલે એવો છે, નોર્મલ અહંકારથી. જરૂર જ નથી ત્યાં આગળ, અહંકાર વિસ્તારીને. પછી કાકા આટલી (પા.૮૨)ઉંમરે કહે કે મને ચિંતા થાય છે. એ ચિંતા થાય એનું ફળ શું ? આગળ જાનવર ગતિ આવશે, માટે ચેતો. હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતો. ચિંતા હશે ત્યાં જાનવર ગતિનું ફળ આવશે. તમામ જીવો આશ્રિતસંસાર એ તો સમ્સરણ માર્ગ છે. તે દરેક માઇલે, દરેક ફર્લાંગે રૂપો બદલાવાનાં. આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાધા કરે છે. આખો સંસાર સહજમાર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા, કબૂતરો, માછલાં એ બધાંને છે કશી હોસ્પિટલ કે છે કંઇ તેમને રોજ નાહવાનું કે ધોવાનું ? છતાંય કેવાં રૂપાળાં દેખાય છે ! એમને છે કશો સંગ્રહ કરવાનું ? એ બધાં તો ભગવાનનાં આશ્રિત છે. જ્યારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે, બધાય. પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હો. જેને ક્યારેય પણ એમ થાય કે ‘મારું શું થશે’ એ બધાં નિરાશ્રિત ! ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધાં નિરાશ્રિત અને તેથી તો ચિંતા-ઉપાધિ છે. બધા જીવોમાં માણસ જાત એકલી જ એવી છે કે અહંકારનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી જ આ જગત ગૂંચાયેલું છે. સહજભાવ હોત બધા જાનવરોની પેઠે, દેવોની પેઠે, તો તો આ મોક્ષ તરફ ચાલ્યા જ કરે. પણ અહંકારનો ઉપયોગ કરેને, પછી તિર્યંચગતિ થાય. ગધેડા, કૂતરા કોણ થાય ? નહીં તો ગધેડાવાળા માટી શેનાથી ઉપાડે ? એટલે ગધેડાં, કૂતરાં, ગાયો, બધાં જગતની સેવા કર્યા કરે છે પછી. પહેલા તો પ્રકૃતિ જેમ દોરે તેમ દોરાતા. પણ તેમાંય જો ફોરેનર્સની પેઠ સહજ રહે તોય સારું રહે. પણ ડખોડખલ કર્યા વગર રહે નહીં ને ! અહંકાર કરે પાછો. અહંકાર એ તો ઘોર અજ્ઞાનતા છે. ડિસ્ચાર્જ થતો અહંકાર...છતાં અહંકાર તો ઉપયોગી જ છે. અહંકાર વગર ચાલે નહીંને ગાડું. મૂળ અહંકાર ઊડી ગયો. જેનાથી સંસાર ઊભો થતો’તો એ અહંકાર ઊડી ગયો. (પા.૮૩)હવે તો આ ડિસ્ચાર્જ થતો જે અહંકાર છે, એ ખાલી કરવાનો છે. એ અહંકાર ઊભો થયા સિવાય તો ખાલી થાય નહીંને ! ક્રોધ-માન-માયા-લોભ જે ભરેલાં છે, તે અહંકારથી જ બધાં ખાલી થાય ને ! પ્રશ્નકર્તા : જ્ઞાન લીધું હોય એના માટે ને ? દાદાશ્રી : હા, એના માટે. બીજાને તો આમાં કામનું જ નહીં. વાત સાંભળીનેય કામનું નહીં. શી રીતે સાંધો મળે ? કયા ગામની ટિકિટ અને ટ્રેન ક્યાં જતી હોય ! પ્રશ્નકર્તા : પછી છેવટે તો સૂક્ષ્મ અહંકાર રહેતો હશેને આખરીમાં, ડિસ્ચાર્જ થઈ ગયાં પછી ? દાદાશ્રી : સૂક્ષ્મ અહંકાર (અંતઃકરણનો) પણ વખતે એ અહંકાર સ્થૂળેય (દેહમાં વણાયેલો) હોય પણ એ અહંકાર ભમરડા જેવો, એટલે આપણને હેરાન ના કરે. પ્રશ્નકર્તા : એ તો ડિસ્ચાર્જમાં પણ આપને અહંકાર કેવો હોય ? દાદાશ્રી : એ સહજ થયેલું હોય. એટલે સહજ થાય ત્યાં અહંકાર ના હોય. કર્તાભાવથી ભવ બંધાયપ્રશ્નકર્તા : જ્યાં એને એમ લાગે કે મારા વગર ન ચાલે, તેને તમે સજીવ અહંકાર કહો છો ? દાદાશ્રી : આ દરેક ક્રિયા કરે છે, તે ‘હું કરું છું’ એવું ભાન છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજા (વાળંદ)નેય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી ‘હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે’ કહે, તો ઊલટો લોહી કાઢશે ! એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે. અહંકાર આંધળો (પા.૮૪)છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ જુદું ! સહજ ભાવ ત્યાં વ્યવહાર આદર્શઆદર્શ વ્યવહાર હોય અને એ વ્યવહારમાં પોતે ના હોય. વ્યવહાર વ્યવહાર રીતે ચાલ્યા કરે. પોતાની ગેરહાજરીમાં વ્યવહાર ચાલ્યા કરે. અને વ્યવહાર ખરેખર છે જ એવો, પણ આ ભ્રાંતિથી એકતા થાય છે. આ ભ્રાંતિ શેના આધારે ઊભી રહી છે ? જાગૃતિ નથી એટલે. જાગૃતિની મંદતાથી ભ્રાંતિ ઊભી રહી છે. પાછા ચૂકે, પાછી જાગૃતિ ઉત્પન્ન થાય પણ આ વ્યવહાર જાગૃતિ છે, નિશ્ચય જાગૃતિ નથી. વ્યવહાર જાગૃતિમાં તો બધો વ્યવહાર યાદ આવ્યા જ કરે. ઊલટો વધારેમાં વધારે યાદ આવે અને વ્યવહારમાં તો લોકોને જેમ જાગૃતિ રહે ને એમ ઠોકર વાગે. વ્યવહારમાં સહજ ભાવે રહે, અજાગૃતિ કામની નહીં, જાગૃતિ યે કામની નહીં. સહજ ભાવે ઠોકર ના વાગે. વિકૃતિથી અસહજતાઆ ગુલાબના છોડને નિકાલ કરવાનો હોય ? ના, એ તો એના સહજ સ્વભાવમાં જ હોય. આ મનુષ્યોએ એનો સહજ સ્વભાવ ખોઈ નાખ્યો છે. પ્રશ્નકર્તા : મનુષ્ય જાતને આમાં ભેદ છે, આ સારું છે, આ આવું છે, નકલ કરે. પણ આમને તો કંઈ ભેદ છે જ નહીં. દાદાશ્રી : એટલે શું છે કે સહજ સ્વભાવ ખોઈ નાખ્યો છે. સહજ સ્વભાવ ! બધી પ્રકૃતિનો સહજ સ્વભાવ છે. આત્મા તો સહજ સ્વભાવમાં છે. દરેક જીવંત વસ્તુમાં આત્મા સહજ સ્વભાવનો હોય છે અને પ્રકૃતિ પણ સહજ સ્વભાવમાં હોય છે. આ મનુષ્યોની જ પ્રકૃતિ એકલી વિકૃત છે. એટલે પ્રકૃતિ વિકૃત એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે. એટલે (વ્યવહાર) આત્માયે વિકૃત થઈ જાય છે. મનુષ્યે સહજ થવાની જરૂર છે. ખાવ-પીવો પણ સહજ. ત્યારે આ અસહજ થાય છે. જ્યારે ઊંઘ આવે ત્યારે ચોટલી બાંધે ને ત્યારે ઊંઘ ના આવે ત્યારે સૂઈ જાય મૂઓ. (પા.૮૫)એકતા માની અહંકારેપ્રશ્નકર્તા : એટલે એવું થયું કે અસહજ જે છે તે સહજને બાંધી લે છે ? દાદાશ્રી : એકતા માની છે ને ત્યાં સુધી. પ્રશ્નકર્તા : એકતા કોણે માની છે ? દાદાશ્રી : અહંકારે એકતા માની છે એટલે. પ્રશ્નકર્તા : જ્યાં સુધી ભેદજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એ સમજમાં કેવી રીતે બેસે ? દાદાશ્રી : સમજમાં બેસે જ નહીંને ! એ અહંકાર છે ત્યાં સુધી ‘ઈટ હેપન્સ’ કેમ કહેવાય ? અહંકાર છે ત્યાં સુધી કઈ ટાઈપનું ગાંડું કાઢે એ શું કહેવાય ? અને તમારો અહંકાર ‘જ્ઞાન’ લીધાથી જતો રહે છે અમુક ભાગનો. જે ચાર્જ અહંકાર, જે ડખલ કરનારો અહંકાર જતો રહે છે અને તે ઈટ હેપન્સવાળો ડિસ્ચાર્જ અહંકાર રહે છે. તેથી સમજમાં બેસે છે. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ કરવા માટે, નિકાલ કરવા માટેનો અહંકાર રહે છે. દાદાશ્રી : ‘ઈટ હેપન્સ’માં જોઈએ એ ડિસ્ચાર્જ અહંકાર રહે છે. સહજ ઉદય થયેલું સહજ આથમેપ્રશ્નકર્તા : પણ એ કર્તાપણા સાથે અહમ્નો ભાવ સંકળાયેલો છે. દાદાશ્રી : હા, તે ? પ્રશ્નકર્તા : આ સંસારી જીવો ખરાં, એને જે કર્તાપણાનો કે જે કંઈ અહમ્ હોય છે તે મીટાવી દેવો એ કંઈ સહેલી વસ્તુ નથી. દાદાશ્રી : ના, સહેલામાં સહેલી વસ્તુ જ એ છે. સહજમાં સહજ વસ્તુ એ અહંકાર બંધ કરવું તે ! ક્રોધ-માન-માયા-લોભ બંધ કરવા એ બધું સહજમાં સહજ વસ્તુ છે. બાકી કષ્ટે કરીને કોઈ દહાડોય ક્રોધ- માન-માયા-લોભ જાય નહીં. ગમે એટલાં કષ્ટ સેવે, ગમે તેટલાં કષ્ટ કરે તોય એ અહંકાર જાય (પા.૮૬)નહીં. સહજ રીતે અહંકાર બિલકુલ જાય. એનો ઉપાય જ સહજ છે ! પણ પોતે સહજ કરી શકે નહીં ને ! પોતે વિકલ્પી છે, તે નિર્વિકલ્પી કેમ કરીને થઈ શકે ? એ તો જે અકર્તાપદ પ્રાપ્ત થયેલું હોય, જે મુક્ત પુરુષ હોય ત્યાં આગળ આપણે જઈએ તો ત્યાં આપણને સહજ રીતે જ એ કામ કરી આપે. એટલે અહંકાર એ સહજ નીકળી જાય એવી વસ્તુ છે. કારણ કે એ સહજ રીતે જ ઊભો થયો છે. એ કંઈ કષ્ટો કરીને ઊભો થયો નથી અને આથમી જાય છે તેય સહજ રીતે ! આ જેટલાં કષ્ટ કરે ને, તેમ તેમ અહંકાર વધતો જાય ઊલટો ! આ જે સંસારની ક્રિયા થઈ રહી છે એનો વાંધો નથી પણ તેમાં ચંચળતા ઉત્પન્ન થાય છે તે વાંધો છે. ક્રિયા બંધ કરવાની નથી. બંધ થાયેય નહીં. એમાં જે ચંચળતા ઉત્પન્ન થાય છે, જે સહજતા તૂટી જાય છે, તેનાથી કર્મ બંધાય છે. આ ક્રિયા કરીએ છીએ તેનો વાંધો નથી, બધી ક્રિયાનો વાંધો નથી પણ ચંચળતા ના હોવી જોઈએ. આપણું જ્ઞાન આપ્યા પછી એનામાં ચંચળતા નથી રહેતી, સહજતા રહે છે. સહેજે પોતાનો ધક્કોય નથી હોતો, બહારની ક્રિયા એની મેળે થયા કરે છે. પ્રકૃતિ ને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ, એનું નામ સાહજિકતા. કર્મો બંધાય શેનાથી ?પ્રશ્નકર્તા : નવા કર્મો જે થાય, તે બાહ્ય પ્રકૃતિને લઈને જ થાય ? દાદાશ્રી : એ નવા કર્મો થાય છે એ તો આપણા અહંકાર અને આજની આપણી સમજણ ને જ્ઞાન, તેની ઉપર આધાર રાખે છે. કર્મ અવળાયે બાંધે ને સવળાયે બાંધે અને પછી પ્રકૃતિ આપણને એવાં સંજોગોમાં રાખે. આ બહુ ઝીણી વાત છે. પ્રશ્નકર્તા : સહજ ક્રિયા જે કંઈ થતી હોય, તેની અંદર કોઈ કર્મ બંધાતું નથી ? (પા.૮૭)દાદાશ્રી : હોય જ નહીંને ! આ તમારે ડિસ્ચાર્જમાંય કર્મ નથી બંધાતું. ડિસ્ચાર્જ અહંકાર કર્મ બાંધી શકે એવો નથી. એ કર્મ છોડવા માટેનો અહંકાર છે. બંધાયેલા છોડવા સારુનો અહંકાર છે. જે બંધાયેલા છે, તેને છોડવા માટે કો’ક જોઈએ તો ખરોને ? એટલે છોડવાનો અહંકાર છે એ. છૂટે દેહાધ્યાસ ત્યાં સહજતાપ્રશ્નકર્તા : હવે જે આત્માના ભાનમાં આવ્યો એનો બધો વ્યવહાર પછી જે છે તે સહજ વ્યવહાર હોય ? દાદાશ્રી : પોતાના ભાનમાં આવ્યો એટલે પછી વ્યવહારની કશી લેવાદેવા રહી નહીંને ! વ્યવહાર ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : એટલે ઉદયરૂપ વ્યવહાર હોય એનો ? દાદાશ્રી : બસ, બીજું કશું હોય જ નહીં. કર્તાપણું છૂટે ત્યાર પછી એ આત્માના ભાનમાં આવે. કર્તાપણું છૂટે એટલે ઉદય સ્વરૂપ રહ્યું. આ એની મેળે ચાલે છે ને આય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે. દેહાધ્યાસ જતો રહેવાથી આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ બેનો સાંધો હતો, એકાકાર થવાનો. તે દેહાધ્યાસ ઊડી ગયો, એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા. ...ત્યારે આવે સહજ દશાડિસ્ચાર્જ અહંકાર પૂરો થાય ત્યાર પછી દેહ ક્રિયા કરે છે એ સહજ ક્રિયા કહેવાય છે, તદ્દન સહજ. તે ઘડીએ આત્માયે સહજ ને આયે સહજ. બન્ને જુદા ને બન્ને સહજ. એટલે આ ડિસ્ચાર્જ અહંકારેય પૂરો થઈ જાય, ત્યારે સહજ (દશા) આવે. પુદ્ગલ એના સ્વભાવમાં આવ્યું. પુદ્ગલ કાયદામાં આવી ગયું. (પા.૮૮)કારણ કે ડખલ કરનારો હતો એ ખસી ગયો. પુદ્ગલ હમેશાં કાયદેસર જ હોય છે પણ જો ડખલ કરનારો ના હોય તો. આ એન્જિનને મહીં બધું કોલસા-બોલસા ભરી બીજું બધુંય કમ્પ્લિટ કરી અને ડ્રાઈવર ના હોય તો બસ ચાલ્યા કરવાનો એનો સ્વભાવ જ છે. મહીં ડખલ કરનારો પેલો બેઠો હોય તો ઊભી રાખે, પાછું ચાલુ કરે. પુદ્ગલને જો ડખોડખલ ના થાયને, તો આ ચોખ્ખું થયા જ કરે. પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય. ડખોડખલ કરનારી કોણ ? તે અજ્ઞાન માન્યતાઓ અને પછી વાંધા ને વચકા ! (પા.૮૯)[7] જ્ઞાની પ્રકાશે અનોખા પ્રયોગોઅંતઃકરણ શુદ્ધિના સાધનોપ્રશ્નકર્તા : આ બુદ્ધિ જે અમને સહજ થવા દેતી નથી, તેને ચોખ્ખી કરવા માટે પાંચ આજ્ઞા સિવાય બીજું કોઈ સાધન ખરું ? દાદાશ્રી : અહીં બધા ડૉક્ટરો ભેગા કર્યા હોય તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલે ? કેટલા બોલે ? એકેય ના બોલે. બુદ્ધિ એવી પેસી ગઈ ને, તે શુક્લ અંતઃકરણ ઊડી ગયું ! પ્રશ્નકર્તા : એટલે બૌદ્ધિક પરિગ્રહ વધ્યા, બુદ્ધિ વધી એટલે ? દાદાશ્રી : હા, એટલે સહજ થવાની જરૂર છે. તેમાં સહજ એવું હોવું જોઈએ, સાથે સાથે પાછાં પ્રતિક્રમણ કરવાં કે ‘મારાથી બોલાતું નથી. કેટલા વખતથી મારે આ બોલવાની ઇચ્છા છે, તો મને આ અંતરાય દૂર કરો.’ એમ કરતાં કરતાં બેસી જશે ને સારી રીતે બોલાશે. તન્મયાકાર થઈને સારી પેઠે બોલાશે. બુદ્ધિ થોડીક વધી કે શુક્લ અંતઃકરણ ઊડી જાય. પોતે જુદો પડ્યો એટલે પોતાની જાત જુદી પાડી. અને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ ગાવામાં તન્મયાકાર થાય એટલે મનમાં જે વિચારો આવતા હોય તેય ઊડી જાય ! અંતઃકરણ ચોખ્ખું થતું જાય. પ્રશ્નકર્તા : એટલે ભણતરથી બુદ્ધિ વધી ને ? તો એ હિસાબે તો અભણ રહેવું સારું ? (પા.૯૦)દાદાશ્રી : હવે આ શી રીતે ખબર પડે લોકોને ? કૃપાળુદેવે એટલું કહ્યું કે શુક્લ અંતઃકરણ. પણ શુક્લ અંતઃકરણ કોને કહેવું એ બધું સમજાય શી રીતે ? મોક્ષમાર્ગ આખો હાર્ટલી માર્ગ છે. અમારામાં સેન્ટ બુદ્ધિ નથી ત્યારે તો મોક્ષમાર્ગ આખો ખુલ્લો થયો ને ? દાદા કરાવે પ્રયોગો સહજતા કાજેઆપણે ત્યાં થબાકા (જોરથી તાળી) શા માટે પાડવામાં આવે છે ? સહજતા લાવવા માટે. જે અસહજપણું હતું, તે ઉડાડી મેલવા માટે છે બધું આ. સહજ પ્રયોગ છે આ. સહજતા આવે પછી કોઈ જાતનો ભો જ નહીંને ! ભો હોય નહીં ને ભડકાટેય નહીં. આમ કરાય ને આમ ના કરાય, એવું જેના મનમાં વિકલ્પ છે તેને ભો હોય. આપણને તો ભો જ નહીંને કોઈ જાતનો. ભૂતાં બધાં નીકળી જવાં જોઈએ. રસ્તામાં કપડાં કાઢી લે તો પછી આપણને સંકોચ રહ્યા કરેને કે ના રહ્યા કરે ? પ્રશ્નકર્તા : હવે ના રહે. દાદાશ્રી : હવે કશો સંકોચ ના રહે. એટલા માટે આ સહજતા કરાવડાવીએ છીએ કે કોઈ પણ સ્થિતિમાં સંકોચ ના ઉત્પન્ન થાય. વડોદરામાં ઘડિયાળી પોળમાં ઉપાશ્રય છે તે જ્ઞાન પહેલાં હું ત્યાં ગયેલો, એ ઉપાશ્રયમાં દર્શન કરવા માટે, કોઈ મહારાજ આવ્યા હશે તે. તે દહાડે લાંબો સફેદ કોટ પહેરું અને બૂટ અત્યાર જેવાં નહોતો રાખતો, જરા ચકચકિત રાખતો. તે દહાડે જરા વટબટ બધું ખરું ! ત્યાં આગળ દોઢ કલાક બેઠો પછી બહાર નીકળ્યો તે ચકચકિત બૂટ હતા તે ઉપડી ગયાં. પગરખાં સારાં હોય તે જ પહેલાં ઉપાડે ને ? તે ઉપડી ગયાં, તેનો ખેદ ના થયો પણ હવે બજારમાં શી રીતે જઈશ ? લાંબો કોટ ને પગમાં બૂટ નહીં. તે મહીં સંકોચ થયો. તે ત્યાં ઘડિયાળી પોળમાં નીકળતાં જ તરત રીક્ષા કરી લીધી અને ઘેર આવતો રહ્યો. પણ આવો સંકોચ થયેલો અનુભવ્યો મેં. એટલે મને એમ વિચાર આવે કે પછી કો’ક કહે, કપડાં કાઢી લો તો શું કરું ? તો સંકોચ થયા વગર રહેવાનો છે ? માટે સંકોચ (પા.૯૧)પહેલેથી દૂર કરો. સહજતા લાવો. એટલે આ સહજતાના પ્રયોગ બધા કરાવડાવીએ છીએ. જ્ઞાન તો તમને છે જ પણ સહજતા હોવી જોઈએને ? કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ, ગમે તેવી સ્થિતિમાં. સહજ થશો તો મોક્ષ થશે, તો ભગવાન સ્વરૂપ થશો. પોતે ભગવાન છો એવું ભાન થશે. અને આ તો અસહજથી આ બધાં એટિકેટનાં ભૂતાં છેને, ત્યાં કશું જ ના હોય. એટલે સહજ થવાની જરૂર છે. છેવટે સહજ થવાનું છે. દિવસે દિવસે સહજ થવાનું છે. અહીં આ બધા સહજ થવાનાં સાધનો છે. પ્રશ્નકર્તા : દાદા કહે છે એવી પૂર્ણ સહજ સ્થિતિ કેવી રીતે આવે ? દાદાશ્રી : જે આ દાદાને ભજેને, એ સહજ સ્થિતિને જ ભજી રહ્યા છે. એટલે તમે એટલા સહજ થઈ જશો. એટિકેટ નીકળે તો થાય સહજપ્રશ્નકર્તા : તે દાદા, તે વખતે આ જે તાળીઓ પાડવામાં હું વિરોધ કરતો’તો તો આજે બધાનાં કરતાં જોરથી હું તાળી પાડું છું. તે આવું કેમ બનતું હશે ? દાદાશ્રી : એવું છે ને, કે તાળીઓ પાડવાથી કંઈ મોક્ષે જાય છે એવો કંઈ નિયમ નથી હોતો, તેમ સૂનમૂન બેસી રહી અને વાંચ વાંચ કરીએ એય કંઈ મોક્ષે જવાનો નિયમ નથી હોતો. મોક્ષે જવાનો નિયમ એટલે કેવો ? સહજ માણસ રહે છે કે નહીં, એટલું જ, સહજ. સૂનમૂન બેસી રહેવું આમ અને તાળી-બાળી ના પાડવી, (પદો ગાવા) વાંચવું, એમાં એટિકેટ આવ્યું, થોડુંક છીટ્ આવ્યું. અને આ લોકો કહેશે, ચિત્તભંગ (સ્થિરતા ભંગ) થઈ ગયો, તાળી પાડી એટલે. આ બન્નેની જરૂર નથી. આ જે ચીડ ચઢેલીને, એ ચીડ કાઢવા માટે આપણે કરીએ છીએ આ. અનંત અવતાર ચીડ પેસી ગયેલી, તે ચીડ કાઢવા માટે પ્લસ-માઈનસ કરીને સહજ કરવાનું છે. એમાં જૈનો હોય, બધા હોય પણ કોઇને ડખલ જ નહીં, વાંધો જ નહીં (પા.૯૨)કોઇને. અને આખું જગત વાંધા-વચકામાં જ ફસાયું છે. વાંધા-વચકા ને કાયદા બધામાં ફસાયેલું છે. અહીં વાંધોય નહીં ને વચકોય નહીં. અહીં તો નાના છોકરાંઓને પસંદ પડે, ઘરડા લોકોનેય પસંદ પડે, અભણનેય પસંદ પડે, ભણેલાનેય પસંદ પડે, દરેકને અહીં પસંદ પડે. આ વાતાવરણમાં બધાને આનંદ જ રહે. તે નાનું છોકરું ખસે નહીં અહીંથી છ કલાક સુધી. જ્યાં સાચો ધર્મ હોય ત્યાં આગળ નાના છોકરાથી માંડીને બધા હોય અને જ્યાં એટીકેટવાળા હોય ત્યાં આગળ ધર્મ જેવી વસ્તુ જ નથી. ગરબાથી થાય પ્રકૃતિ સહજઆપણે ત્યાં આ ગરબામાં પેઠા છે, એ સહજ થયા છે અને પેલા અસહજ. એટલે આ અમે શા સારુ વચ્ચે બેસીએ, અમારે બેસવાનું કંઈ કારણ ? તમને સહજ કરવા છે. જે તે રસ્તે સહજ થાવ. આ તે કંઈ જ્ઞાનીને શોભે એવી ક્રિયા છે આ બધી ? જ્ઞાની આવું થબાકા પાડતા હશે ? આપણું વિજ્ઞાન કેવું છે કે સહજ કરો, જે તે રસ્તે સહજ થાવ. એટલે અમે જાત્રાએ ગયા હતા ને તે એકસો ને પંદર માણસની બે બોગી, જોઈન્ટ કરેલી. એટલે રસોડું ઠેઠ સુધી ચાલ્યા કરે. ચા-પાણી ઠેઠ સુધી ચાલ્યા કરે. રસોડું ત્યાંનું ત્યાં જ બધું. હવે જાત્રાએ નીકળેલા બધા, આમ ગાડીમાં ને ગાડીમાં ક્યાં સુધી બેસી રહે ? એટલે મોટું સ્ટેશન આવે એટલે ત્યાં આગળ ઉતરવાનું. ત્યાં વીસ મિનિટ ગાડી ઊભી રહે, એટલો વખત બધા ગોળ ગરબા ફરે, ગરબા કરવાના. ડર-સંકોચ રહિત એ સહજપ્રશ્નકર્તા : તો એ શું રસ્તા પર નાચતા નાચતા જઈએ તો સહજ થયું કહેવાય ? દાદાશ્રી : સહજ જ થયું કહેવાય. સહજ એટલે શું ? લોકોથી ડરવું નહીં. કોઈથી ડરવું નહીં, એનું નામ સહજ. આપણે ત્યાં એક ભાઈ આવે છે, તે એક દહાડો એમને ફૂલની માળા પહેરાવી. મેં કહ્યું, ‘લ્યો, હવે આ માળા પહેરીને અહીંથી ઘેર જાવ.’ એટલે આ આજ્ઞા તો થઈ. એટલે હવે એમને આજ્ઞા પાળ્યા (પા.૯૩)વગર છૂટકો નહીં. તે પછી શું થયું ? એ પોળમાંથી બહાર નીકળ્યા એટલે એમના મનમાં એમ લાગ્યું કો’ક જોઈ જશે તો ? એટલે એમણે શું કર્યું કે રસ્તો એવો કંઈક ખોળી કાઢું કે માળા કાઢવી પડે નહીં, આજ્ઞા પળાય અને લોકોના સકંજામાં આવીએ નહીં. એટલે એમણે ત્યાંથી જ રિક્ષા પકડીને મહીં આંખો મીંચીને બેસી ગયા અને ઘરના બારણા આગળ ઊભી રખાવી. અને પછી બીજે દહાડે મને આ પ્રમાણે કહ્યું. ત્યારે મેં કહ્યું, ‘શેના સારુ ભડકો છો ? આ ગાય-ભેંસોથી કેમ ભડકતા નથી ? એમનામાંય એવો જ આત્મા છે ને એમનામાંય આવો આત્મા છે. આમનાથી કેમ ભડકતા નથી ?’ ત્યારે કહે, ‘ત્યાં તો શરમ ના આવે.’ ત્યારે મેં કહ્યું, ‘એમાં ને આમાં ફેર નથી. ફક્ત ફોટો પડે આ માણસનો, એટલો જ છે ફેર.’ પ્રશ્નકર્તા : છતાં પણ અમુક અમુક હોય તો પ્રકૃતિ ન જ કરવા દે, તો શું કરવું ? દાદાશ્રી : હા, ના કરવા દે તો આપણે એને પણ જાણીએ. તમારી ઇચ્છા છે અને નથી કરવા દેતી, એને માટે તમે જોખમદાર નથી. આ જાત્રામાં તો દરેક સ્ટેશને જઈને આ બધું આવું કરવાનું (ગરબા ગાવાના). તે પાછો થાકે નહીં. મુક્ત મને, કોઈથી દબાવવાની જરૂર નહીં. કોઈની શરમ શેની ? શરમ રહે તો આપણે ના સમજીએ કે ચંદુભાઈ કાચા પડે છે. પ્રશ્નકર્તા : બીજાનું તો કંઈ રહેતું જ નથી, પોતાનું જ અંદર હોય છે. દાદાશ્રી : પોતાનો જ ભય ઉપરી, બીજો કોઈ તો નવરો જ નથી. પોતાપણાથી થઈ જુદાઈસહજ એટલે શું ? બધા કરે એ પોતે કરે, પોતાનું નહીં. પોતાપણું ના રાખવું જોઈએ. આ તો સહુ સહુનું અલગ રાખી મેલેને ? પછી મહીં ધૂંધવાયા કરે. અને બધા કરે એમ કરીએને તો પોતાપણું ના રહે. સહજ થાય, સહજતા ઊભી થાય. અમને એ બહુ ગમે. પ્રકૃતિની અસહજતાથી આત્મા અસહજ થયો. એટલે મૂળ આ પ્રકૃતિને સહજ કરવાની છે. જે ઘડીએ બધા બોલતા હોય તે ઘડીએ બોલવા લાગે. ગાતા હોય તે ઘડીએ ગાવા લાગે, તેથી તો આપણે ત્યાં (પા.૯૪)ગવડાવવીએ છીએ. નહીં તો ગવડાવવાનું કારણ શું ? પ્રકૃતિ સહજ કરવા માટે છે. મનમાંથી નીકળી જાય કે મારાથી આવું ના થાય ને મારાથી આવું થાય, એવું બધું નીકળી જાય. સત્સંગમાં જુદાઈ ના પાડવી. બધા જેવું કરે તેવું આપણે કરવું. અંદર આપણે સ્થિર કરવું હોય તો આપણે આમ સ્થિર થઈ જઈએ તો થાય. એ પ્રકૃતિ સહજ એટલે શું કે બહારનું અમે જે કરીએ એટલું જ કરવાનું. પોતાનું જુદું કરવા જાયને, એટલે પેલો એક્સ્ટ્રા ફોટો પડે. જુદું કરનારાને ઓળખો તમે ? હવે આ ભાઈ, આ બીજા પાંચ-સાત જણ છે તે જુદી ટોળી બેઠી હોય. અરે ભાઈ, જ્ઞાની પુરુષ જાતે આવડી મોટી રાડો પાડી પાડીને બોલાવે છે, તો કંઈ હશે કે નહીં હોય ? પણ આ બધું ઓવરવાઈઝપણું (દોઢ ડહાપણ). એટલે આ પ્રકૃતિ સહજ કરશે તો કામ થશે. સહજ એટલે વર્ક વ્હાઈલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઈલ યુ પ્લે. એવો પછી ફોટો પડશે. આ બધા ભળીને ચાલવાવાળા. તમે તો સંપૂર્ણ પ્રકારે બધા ભળો અને આ તો જુદાઈ પાડે એવા માણસ, પણ ધીમે ધીમે બધું ઓછું કરી નાખ્યું, ભળતા થઈ ગયા. જુદાઈ પાડવામાં શું થાય ? ફોટો જુદી જાતનો પડ્યા કરે. સહજતાના લક્ષણોસહજ કોનું નામ કહેવાય કે અહીં એક માણસ પાંચ વાગે આવ્યો. તે નવ વાગે અહીંથી ઊઠે. ત્યાં સુધી બધાની સમૂહ ક્રિયા શું ચાલ્યા કરે છે, બધા દાદા ભગવાન બોલે તો એય દાદા ભગવાન બોલે. બધા ગાય તો એય ગાય. પછી છે તે બધા ગરબા ગાય તો એ ગરબા યે ગાય. એ બધું સહજ, એમાં પોતાનું કંઈ નહીં. પોતાની ડિઝાઈનમાં ઉતારે નહીં. હવે ત્યાં તો પોતાનું ડ્રોઇંગ ચીતરે તો એ સહજતા ચૂક્યા કહેવાય. ત્યાં લોકો પોતાનું ડ્રોઇંગ ચીતરે ને ? કારણ કે આપણું વિજ્ઞાન એવું છે કે મનને જો તમે એવું કહી દો કે આ બધા કહે એ પ્રમાણે જ કરવાનું છે તો મન પણ ખુશ થઈ જશે અને આ બધા જેવું કરતા એને આનંદ થાય છે. પણ આપણે મનમાં જરા પોતાનું ડ્રોઇંગ ચીતર્યું તો પછી ડૂબકી મારવી પડે. એ ડોઝીંગ (સહજતા ચૂક્યા) કહેવાય છે. (પા.૯૫)એટલે એ લોકો ગાતા હોય, તે ઘડીએ આપણે ગાવાનું, એ કૂદતાં હોય ત્યારે કૂદવાનું. અહીં બધા કૂદતા હોય ત્યારે આપણે કૂદવું. કૂદવાની દશા ના હોય તો બેસી રહેવું, જોયા કરવું. આ આપણું વિજ્ઞાન છે ને, તે જે જે થાય છે એ બધું પ્રતિક્રમણ છે. પહેલા કંઈ રાગ-દ્વેષ કર્યા હોય, કંઈ જોયું હોય ને આપણને ગમતું ના હોય, કંટાળો તે મહીં પરમાણુ ભરેલા, તે આ ‘જોઈએ’ એટલે ઊડી જાય બધું. અભિપ્રાય તૂટી જવા જોઈએ બધા, કે આ ખોટું છે ને આ ખરું છે. એટલે આપણે તો જે ઉદય આવે ને, ‘ચંદુભાઈ’ એમાં ભળે અને ‘આપણે’ જોયા કરવું, બેઉ પોતપોતાના કામમાં રહ્યા કરે. એ ચીડ બનાવે અસહજમુંબઈમાં અમને પૂછે છે કે તમારે ત્યાં આવીનેય તાળી પાડે છે એનો શો અર્થ છે ? મેં કહ્યું, એની પહેલા અનંત અવતાર ચીડ કરી છે ને, તે ચીડ કાઢવા સારુ કરે છે. પછી કાઢવી તો પડશે ને, ચીડ ત્યાં લઈને જવાય કે ? એટલે એ થબાકા મારે છે ને ! ત્યાં આગળ એ ચીડ કરેલી, તે કાઢવા સારું આ. તમે જાતે કરો એટલે એ નીકળી જાય. નહીં તો મારે આ ધંધો કાઢીને શું કામ ? હું તો જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવું હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે, આ તો બધું ખાલી કરી નાખવાનું. ક્રમિકમાં એવું ના ચાલે. ક્રમિકમાં તો જોડે ને જોડે લઈને માર ખા ખા કરવાનું. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુદ્ધાત્મા થયા પછી રહ્યું શું તે ? તેવી રીતે ક્રમિકમાં શુદ્ધાત્મા થઈ શકતો નથી અને જ્યારે શુદ્ધાત્મા થાય, તે અવતારે મોક્ષે જાય. અને આપણે શુદ્ધાત્મા હોય તો વેપારી વેપાર કરી શકે, એવું આપણું અક્રમ. જો ને, આ ભાઈ કરે છે ને નિરાંતે ! તમને સમજાયું ? પ્રશ્નકર્તા : હા, સમજાયું મને. દાદાશ્રી : તમે આ લાઈન ઉપર વિચાર કરજો હવે. પ્રશ્નકર્તા : હા, જરૂર. (પા.૯૬)એ રોગો કાઢવાની કળાદાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાનમાં લૉ જ નથી આ થબોકા પાડવાનો. આ તો થબોકા નહીં પાડવાનું જેને એટિકેટ છે, તેનો રોગ કાઢવા માટે છે. પ્રશ્નકર્તા : પણ દાદા, પછી બહુ સહજપણે બોલાય. હવે તો થાય છે. હવે તો ચેન નથી પડતું. દાદાશ્રી : એ એટિકેટનો રોગ કાઢવા માટે છે આ. એટિકેટ ગયા સિવાય કોઈ દહાડો ધર્મ પરિણામ ના પામે. જે એટિકેટની બહાર રહે છે ત્યાં આગળ ધર્મ પરિણામ પામે. એટલે આય એવું કહેતા’તા, અહીં થબોકા પાડવાનું ? ત્યારે મેં કહ્યું, રોગ કાઢવા માટે છે આ. પોતાની બુદ્ધિથી કોઈપણ માણસ એટિકેટ શીખ્યો નથી. બુદ્ધિ હોય જ નહીં ને ! આ તો એટિકેટ તો બધી નકલો કરેલી. તે આ રોગ પેસી ગયેલો. તે આ રોગ કાઢવા માટે મેં આ કરેલું. પ્રશ્નકર્તા : એ દાદા, બરોબર છે. અમે ટાઈ પહેરીએ છીએ એ સમજીને કોઈ દહાડો ટાઈ પહેરતા નથી. બધા પહેરે છે, માટે અમે પહેરીએ છીએ. દાદાશ્રી : બધું જોઈને જ આ એટિકેટ શીખ્યા છે. આ હિન્દુસ્તાનમાં બધું એટિકેટ શીખ્યા છે ને, અને જ્યાં સુધી એટિકેટ છે ત્યાં સુધી ધર્મ જેવી વસ્તુ જ નથી. જ્યાં કંઈ પણ એટિકેટ છે ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી. જ્યાં સહજતા છે ત્યાં ધર્મ છે. ઉકેલ લાવવો આમઆપણા સત્સંગમાં આ જે બોલીએ છીએ, કરીએ છીએ, એ બધું બહારથી આવેલા માણસો, ‘જ્ઞાનવાળા કેવા હોય એવું એમના લક્ષમાં જુદું હોય’, તે આવું જુએ એટલે એના મનમાં એમ થાય કે જ્ઞાન શેનું નામ કહેવાય ? પણ એમને ખબર નથી કે આ લોકો જ્ઞાન ગ્રહણ કરી રહ્યા છે અને અજ્ઞાન છોડી રહ્યા છે. કારણ કે આપણે કંઈ આ બધા આમ થબાકા પાડે એવા નહોતા. પણ એ માન્યતા ખોટી છે એવું માનેલું, એના તરફ તિરસ્કાર વર્તતો હતો. (પા.૯૭)તે માન્યતા આપણે સમભાવે નિકાલ કરી નાખીએ છીએ. આપણે થબાકા પાડીએ તો છૂટી જઈએ. તિરસ્કાર વર્તતો હોય તે ઉડાડી મેલવો અગર રાગ આવતો હોય તે ઉડાડી મેલો. બન્ને ઉડાડી મેલો અહીંયાં આગળ. આની ઉપર તિરસ્કાર હોય કે ના હોય લોકોને ? તે એ તિરસ્કાર ક્યાં લઈ જવાનો છે જોડે ? એટલે અહીં જ ઉડાડી દેવાનો, પ્લસ-માઈનસ કરી દેવું. નહીં તો અમારે ત્યાં બહારવાળા તો એવું જ કહે કે બધાં આ પાછું શું કરો છો ? આવા ભણેલા-ગણેલા થઈને શું દાદાની પાસે રંગ લાગ્યો છે ? તમે આ ગ્રહણ કરેલો માલ રોંગ બિલિફો, તે નિકાલ કરો છો. તે એમને બિચારાને ખબર નથી. અમે બધા જ પર્યાયો સમજીએ કે આવો પર્યાય હોવો જોઈએ. પણ કોને માટે ? ક્રમિક માર્ગમાં આવેલા માટે ના હોય. કારણ કે બધું ખપાવી ખપાવીને આવ્યા હોય. અને અહીં તો ખપાવ્યા સિવાયનો માલ. એટલે આ રીતે ખપાવવાથી સહજ થાય. જે તે રસ્તે દેહને સહજ કરવાનો છે. થબાકા ના પાડવા એ એક જાતની રોંગ બિલિફ છે. થબાકા પાડવા એય રોંગ બિલિફ છે. થબાકા ના પાડવા એ એક જાતની બિલિફ અહંકારને વધારનારી છે અને આ અહંકારને નાશ કરનારી છે. અને તમે એના કર્તા નથી. આ તો ચંદુભાઈ કરે છેને, તમે ક્યાં કરો છો ? એટલે આપણે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલિફો છોડવા માટે છે. ઘણીખરી બિલિફો તો મેં ફ્રેક્ચર જ કરી નાખી, પણ હજુ કેટલીક મહીં ભરાઈ રહેલી હોય. પણ સહજાસહજ નીકળી જાય. અહીં કોઈ વાંધોય ઉઠાવતું નથીને ! પોતાનું સ્ટેજ (સ્ટેટસ, મોભો) જ ભૂલી જાય છે. પહેલાં તો મારાથી આવું ના થાય, નહીં ? પણ તોય તમારે ક્યાં કરવાનું છે ? તમારે કરવાનું રાખ્યું હોય તો બતાવો. તમારે તો ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવાનું, કે ‘અહોહો ! ચંદુભાઈએ કેવા થબાકા માર્યા, મોક્ષે જવા. તમારેય છૂટવું છે ને એમનેય છોડવવા છે.’ (પા.૯૮)નહીં તો કંઈ થબાકા પાડવાના ચંદુભાઈને ગમતા હશે ? આ તો હું (થબાકા) પાડીને તમને શીખવાડું. બાકી હવે મારે કંઈ જરૂર નથી. તમને શીખવાડીને નિવેડો લાવી આપું છું. આ બધી ક્રિયા કરવાની મારે કંઈ જરૂર છે ? આ તો નિવેડો લાવવાનો છે. આ કંઈ કોલેજેય નથી ને સ્કૂલેય નથી. આ તો ઉકેલ લાવવાનો જે તે રસ્તે. આમાં જો બુદ્ધિ વાપરીને તો બુદ્ધિ આખી રાત ઊંઘવા નહીં દે. અને બુદ્ધિથી બેસે એવું છે ? પણ તે તમારી સમજણમાં ફેર પડી જશે તો આખી રાત ઊંઘમાંયે થશે કે દાદા, આવું કેમ કરાવે છે ? અલ્યા પણ તમારે કરવાનું ક્યાં છે ? જેણે તિરસ્કાર કર્યા તેણે કરવાનું છે. એને પ્લસ-માઈનસ કરી નાખવું જ જોઈએને ? પ્રકૃતિ સહજ થવા કાજે...એટલે આ બધું સહજ આ એ, અહીં તો ગરબા-બરબા બધું જ ફરે. અહીં બધું જ જાતનું ચાલે. અહીં મહાદેવજીના દર્શન કરે, માતાજીના દર્શન કરે, બધે દર્શન કરે, પણ બધું સહજ પરિણામ. એવું છે ને, આ માતાજીની ભક્તિ કરાવવાથી પ્રકૃતિ સહજ થાય. અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય. ‘આપણે’ માતાજીની ભક્તિ પોતાની પ્રકૃતિ પાસે કરાવવી. ‘આપણે’ આત્મભાવે નહીં કરવાની, ‘ચંદુલાલ’ પાસે દેવીની ભક્તિ કરાવવી અને તો જ પ્રકૃતિ સહજ થાય. આ તો હિન્દુસ્તાનમાં માતાજીનાં લોકોએ જુદાં જુદાં નામ પાડેલાં. કેટલું બધું વિશાળ આ સાયન્સ હશે ! કેટલી બધી શોધખોળ કરીને અંબા માતા, સરસ્વતી દેવી, લક્ષ્મી દેવીની શોધ થઇ હશે ! આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે ! એ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીનાં દર્શન પણ કરતાં ના આવડ્યાં ! માતાજી એ આદ્યશક્તિ છે ! તે પ્રાકૃત શક્તિ આપે. માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. અંબા મા તો સંસારનાં વિઘ્નો દૂર કરી (પા.૯૯)આપે, પણ મુક્તિ તો જ્ઞાન દ્વારા જ સાંપડે. દર્શન કરતાં આવડે તો ચાર માતાઓ હાજરાહજુર છે - અંબા મા, બહુચરા મા, કાળિકા મા અને ભદ્રકાળી મા. માતાજી પાપ ધોઇ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે. આ અંબા માતાજી અમારું કેટલું બધું રક્ષણ કરે છે ! અમારી આસપાસ બધે જ દેવો હાજર ને હાજર હોય. અમે દેવોને પૂછ્યા વગર, તેમની રજા લીધા વગર એક ડગલુંય આગળ ના ચાલીએ. સર્વ દેવોની કૃપા અમારા ઉપર અને અમારા મહાત્માઓ ઉપર વરસ્યે જ જાય છે ! અંબા માતાજી એટલે સહજ પ્રકૃતિ. દરેક દેવીઓના કાયદા હોય છે. તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. અમે મા અંબેના એકના એક લાલ છીએ. માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઇને જાવ તો તે સ્વીકારે. આ તમારો દીકરો હોય અને નોકર હોય પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં ? લાગે જ. અમે કયારેય પણ અંબા માના, લક્ષ્મીજીના કે સરસ્વતી દેવીના કાયદા તોડ્યા નથી. નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ. તેથી એ ત્રણેય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે ! તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવાં હોય તો તેમના કાયદા પાળવા જોઇએ. પ્રશ્નકર્તા : અંબા માતાના શા કાયદા છે ? અમારે ઘેર અંબા માતાની ભક્તિ કરે છે બધાં, પણ એના કાયદા શા છે તે અમે જાણતા નથી. દાદાશ્રી : અંબાજી દેવી એટલે શું ? એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય ? આ અંબાજી દેવી તો કહેવું પડે ! તે તો માતાજી છે, મા છે. બંગાળમાં દુર્ગા કહેવાય છે તે જ આ અંબાજી. બધી દેવીઓનાં જુદાં જુદાં નામ મૂક્યાં છે પણ જબરદસ્ત દેવી છે ! આખી પ્રકૃતિ છે. આખી પ્રકૃતિનો ભાગ જો હોય તો તે માતાજી છે. પ્રકૃતિ સહજ થઇ તો આત્મા સહજ થાય જ. આત્મા અને પ્રકૃતિ, એ બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, તો બંને સહજ થઇ જાય ! (પા.૧૦૦)[8] અંતે પામવી અપ્રયત્નદશાનડે અહંકાર, ના સંસારપ્રશ્નકર્તા : આ સંસારની જવાબદારીઓ જે અદા કરવાની હોય, તેમાં સહજ કેવી રીતે રહેવાય ? દાદાશ્રી : ના રહેવાય. એ સહજ યોગ તો કો’ક અબજોમાં એકાદ માણસ કરે, કો’ક ફેરો ! સહજ તો, એ વાતો બધી કરવા જેવી નથી. એના કરતાં દીવો કોઈ પ્રગટ થયેલો હોય તેને, જ્ઞાનીને કહીએ, ‘સાહેબ, મારો દીવો સળગાવી આપો.’ તો એ સળગાવી આપે. ભાંજગડ મટી ગઈ. આપણે દીવો સળગાવવા સાથે જ કામ છે ને ? એ જ્ઞાનમાર્ગ ઉપર સહજ રહેવાય. અમે તો નિરંતર સહજ જ રહીએ છીએ, નિરંતર સહજ ! પછી સંસારની જવાબદારીઓ નડતી નથી. કારણ કે સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા પછી મહીં જેમ સહજ ચાલે છે તેના કરતાં બહાર વધારે સહજ ચાલે તેમ છે. દેહ તો એનું કાર્ય કર્યે જ જવાનો, આપણે જોયા કરવાનું. એ વ્યવસ્થિતના તાબામાં છે, આપણા તાબામાં નથી એ. એ ખાશે-પીશે, હરશે-ફરશે, બધું કરશે. વ્યવસ્થિતનો અર્થ શું છે કે સહજ ભાવે બને એ કર્યે જાવ. દેહ કારખાનું ચલાવ્યું કોણે ?આ એલેમ્બિકના કારખાનામાં કેટલાંય માણસો કામ કરે છે, ત્યારે કેમિકલો થાય છે અને તેય પાછું એક જ કારખાનું, અને આ દેહ તો અનેક (પા.૧૦૧)કારખાનાંનો બનેલો છે, લાખ એલેમ્બિકનાં કારખાનાંનો બનેલો છે. તે એમ ને એમ ચાલે છે. મૂઆ, રાતે ઓંઢવો (હાંડવો) ખાઈને સૂઈ ગયો, તે મહીં કેટલો પાચકરસ પડ્યો, કેટલું પિત્ત પડ્યું, કેટલું બાઈલ પડ્યું, તેની તપાસ કરવા જાઉં છું તું ? ત્યાં તું કેટલો એલર્ટ છું, મૂઆ ? એ તો સવારે એની મેળે બધી જ ક્રિયાઓ થઈને, પાણી પાણીની જગ્યાએ ને સંડાસ સંડાસની જગ્યાએથી છૂટું પડી નીકળી જાય છે ને સત્વો બધાં લોહીમાં ખેંચાઈ જાય છે. તે એ બધું તું ચલાવવા ગયો હતો ? અલ્યા, આ અંદરનું એમ ને એમ ચાલે છે તો બહારનું નહીં ચાલે ? ‘તું કરું છું’ એવું શા માટે માને છે ? એ તો ચાલ્યા કરશે. રાતે ઊંઘમાં શરીર સહજ હોય છે. આ તો મૂઆ અસહજ ! આ દહાડે તો લોક કહે છે કે હું શ્વાસ લઉં છું, ખરા શ્વાસ લઉં છું, ઊંચા લઉં છું ને નીચા પણ લઉં છું. તો મૂઆ રાતે કોણ શ્વાસ લે છે ? રાતે જે શ્વાસોચ્છવાસ ચાલે છે તે નોર્મલ છે. તેનાથી બધું જ સરસ પાચન થાય છે. સહજભાવમાં બુદ્ધિ ના વપરાય. સવારે પથારીમાંથી ઊઠ્યા એટલે દાતણ કરો, ચા પીઓ, નાસ્તો કરો, એ બધું સહજભાવે થયા જ કરે છે. એમાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર વાપરવાં ના પડે. જેમાં આ બધાં વપરાય તેને અસહજ કહેવાય, વિકલ્પી ભાવ કહેવાય. તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને સામો માણસ ભેગો થાય ને કહે કે, ‘લ્યો આ વસ્તુ.’ તો તે સહજભાવે મળ્યું કહેવાય. તમે વિચાર્યુંય ના હોય. જરૂર હોય તમારે પણ તમને એની પાસેથી લેવાનો વિચાર ના હોય. સહજાસહજ મળી જાય છે, એવું આપણા લોક નહીં કહેતા ? સહજ એટલે અપ્રયત્ન દશા. કોઇ જાતનો પ્રયત્ન નહીં. શું કરવું ને શું ના કરવું ?બધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન થશે. હવે સહજ એટલે શું ? વિના પ્રયત્ને ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, ‘મેં આમ કર્યું ને તેમ કર્યું બધું.’ કેવી રીતે સમજાય આ ગેડ બધી ? અને કોઈએ (પા.૧૦૨)બનાવ્યું નથી. કોઈએ કર્યું નથી, કરવા જેવુંય નથી. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ તો. પ્રશ્નકર્તા : તો આ અક્રમ જ્ઞાન મેળવવા માટે બધાએ પ્રયત્ન શું કરવા કરવો જોઈએ ? દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી. પ્રશ્નકર્તા : પછી તમારી પાસે આવવાની શી જરૂર ? દાદાશ્રી : મારો પાડોશીએય કોઈ પ્રયત્ન કરતો નથી અને હુંયે પાડોશીને કહેતો નથી કે અક્રમ જ્ઞાન લઈ લો. અહીં આગળ આવે ત્યારે, મને ભેગો થાય તો એમને હું વાત કરું, નહીં તો કરું નહીં. પ્રશ્નકર્તા : એ કરવાનીય શી જરૂર ? દાદાશ્રી : નહીં, સહજભાવે જે બને એ ખરું. પ્રશ્નકર્તા : સહજભાવે જે બનવાનું છે એ તો બન્યા જ કરે છે. દાદાશ્રી : હા, તે એવું જ. અમારે બીજો કંઈ ડખો નહીં કરવાનો. અત્યારે આ સહજભાવે જ તમારી જોડે ભાંજઘડ છે બધી. નવો ડખો આમાં કશો નથી. તમે ફક્ત સહજભાવમાં નથી. અમે તો સહજભાવમાં જ રહીએ છીએ. તમે સહજભાવમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે. અને આ ફોરેનવાળા, એ તો બિચારા સહજ જ છે. આ ગાયો-ભેંસોય સહજ છે. પ્રશ્નકર્તા : એ તો મને ઘણીવાર લાગે, આ ગાયો-ભેંસો ને એ બધાં જે જાનવરો છેને, એમાં રાગ નથી ને દ્વેષ નથી. બીજું પણ.. એટલે એમ લાગે કે માનવ કરતાં તો એ લોકો વધારે સુખી છે. દાદાશ્રી : કારણ કે રક્ષિત છે એ. એ છે તે આશ્રિત છે. અને આશ્રિત દુઃખી ના હોય કોઈ. આ એકલા હિન્દુસ્તાનના લોક નિરાશ્રિત છે. પ્રશ્નકર્તા : તો પછી માનવદેહ એ લોકોનાં કરતાં વધારે સારો કઈ રીતે (પા.૧૦૩)ગણાય ? દાદાશ્રી : મોક્ષને માટે લાયક થઈ ગયો છે આ. પ્રશ્નકર્તા : મોક્ષ શું છે ? દાદાશ્રી : મોક્ષ એટલે પોતાની છેલ્લી, સ્વાભાવિક દશા. પ્રશ્નકર્તા : એ પણ સહજ રીતે આવવાની હોય, તો માણસે પ્રયત્નેય શું કરવા કરવો ? દાદાશ્રી : એ સહજ રીતે જ આવી રહી છે. પ્રશ્નકર્તા : તો પછી પ્રયત્ન કરવાની કંઈ જરૂર જ નહીંને ? દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતું જ નથી. આ જે પ્રયત્ન કરે છે તે તો પોતે અહંકાર કરે છે. મેં પ્રયત્ન કર્યો આ. પ્રશ્નકર્તા : હું અહીંયાં આવ્યો તે હું એવું માનું છું કે હું પ્રયત્ન કરીને આવ્યો. દાદાશ્રી : એ તો તમે એમ માનો છો કે હું આ કરી રહ્યો છું. હું જાણું છું કે આ તમે સહજ રીતે આવ્યા છો અને તમારો ઈગોઈઝમ તમને એમ દેખાડે કે હું હતો તો થયું, ભેગા થયા, આમ થયું, તેમ થયું ને એડજસ્ટમેન્ટ લઈ લ્યો છો તમે. બસ, એટલું જ થયું. બધી ક્રિયા સ્વાભાવિક થઈ રહેલી છે. પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી ? દાદાશ્રી : ના કરવા જેવુંય નથી રહેતું. પ્રશ્નકર્તા : ના કરવા જેવું તો કરતા જ નથી. દાદાશ્રી : કરવા જેવુંય નહીં રહ્યું ને ના કરવા જેવુંય નથી રહેતું. પ્રશ્નકર્તા : તો શું કરવાનું ? દાદાશ્રી : જાણવા જેવું છે જગત. (પા.૧૦૪)પ્રશ્નકર્તા : જાણવું કેવી રીતે ? દાદાશ્રી : આ અત્યારે શું બને છે, એ જોયા કરવાનું ને જાણ્યા કરવાનું, બસ. વ્યવસ્થિત સમજ્યે પ્રગટે સહજતાતમે આત્મા જ થઈ ગયા પછી હવે રહ્યું શું ? પ્રશ્નકર્તા : એટલે આત્મા ચોખ્ખો થઈ ગયો. આ તો પેલું એમ કે એની દશા કેવી હોય ? એટલે કહ્યું કે અપ્રયત્ન દશા આખી ઉત્પન્ન થાય. ચંપલ પહેરવાનો પણ પોતાનો પ્રયત્ન ન હોય. દાદાશ્રી : અત્યારે અપ્રયત્ન દશા જ છે એ તો. પ્રયત્ન તો અહંકાર હોય ત્યારે કહેવાય. પ્રશ્નકર્તા : આપે કહેલું કે રેલ્વે સ્ટેશન પર ગયા હોઇએ, ગાડીમાં જવાનું હોય તો સ્ટેશન પર જઈને ગાડી આવે છે કે નહીં ? આમ ડોકું કરીને જુએ નહીં. દાદાશ્રી : એ જુએ તે વાંધો શો છે ? પછી પોતાને ખબર પડે કે આ ભૂલ ખાધી જરા. એટલે સહજ થવું છે એવો ભાવ રાખવો. આપણે દ્રષ્ટિ કેવી રાખવાની ? સહજ. વખતે શું બને છે એ જોવું. અને ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છેને ? એ તો બહુ મોટી પુણ્યૈ હોય તો મળે, નહીં તો મળે નહીંને ? એ આમ હાથ જ ના અડાડાયને ? એક ફેરો આમ હાથ અડાડવું તેય બહુ મોટું પુણ્યૈ કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું. એટલુંય કંઈ ઓછું છે ? બાકી ગમે તે રસ્તે શુદ્ધ ઉપયોગમાં રહેવું. પ્રશ્નકર્તા : સહજ તો ત્યારે જ થાયને, સંપૂર્ણ વિજ્ઞાન અંદર ખુલી જાય તો જ સહજ થઈ શકે ? દાદાશ્રી : એ ‘વ્યવસ્થિત’ સંપૂર્ણ સમજાય ત્યારે સંપૂર્ણ સહજ થાય. હવે એ તો એની મેળે થયા જ કરે છે. એની બહુ એ નહીં રાખવાની, કે આને (પા.૧૦૫)માટે રાહ જોઈને બેસવાનું નહીં. રાહ જોઈએ, તેનો પાર જ ના આવે. પણ વ્યવસ્થિત સમજાય કે તરત સહજ થઈ જાય. પ્રશ્નકર્તા : સહજ થવા માટે વ્યવસ્થિત પૂરું સમજાઈ જવું જોઈએ ને ? દાદાશ્રી : વ્યવસ્થિત પૂરું સમજાય તો પૂરો સહજ થઈ ગયો. બાકી વ્યવસ્થિત જેટલું સમજાય એટલો સહજ થઈ ગયો. એટલે ગભરામણ જ ના થાય. વ્યવસ્થિત સમજાય તો આ દુનિયામાં કકળાટ છે જ નહીં. અને વ્યવસ્થિત જેટલું સમજાય એટલું કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય, તેટલો સહજ થતો જાય. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત નથી સમજતો ત્યારે જ ઉપયોગની બહાર જાય છે ? દાદાશ્રી : હા, ત્યારે જ જાય. નહીં તો ઉપયોગની બહાર જાય જ નહીં અને જાય તો અસહજ થાય. વ્યવસ્થિત જેટલું સમજાય તેમ સહજ થતો જાય. જેમ જેમ વ્યવસ્થિત સમજાતું જાય, એનાં પડ ઉકલતાં જાય તેમ તેમ સહજ થતું જાય. નિર્વિકલ્પ તો થયા છે પણ સહજ થયા નથી. નિર્વિકલ્પ તો જ્ઞાન આપ્યું ત્યારથી જ થયા છે. જેટલી સહજ અવસ્થા ઉત્પન્ન થાયને, તેમ તેમ વાણી-વર્તન બધું ફેરફાર થતું જાય, વીતરાગતા આવતી જાયને. કર્તાપણું છૂટ્યે, દર્શન ખીલેવ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને, તે આ શરીરના બધા અવયવો એને તાબે છે. એટલે આપણે સહજ ભાવમાં ‘હું શુદ્ધાત્મા છું’ એમ માનીને વ્યવસ્થિતને સોંપી દઈએ અને ડખોડખલ ના કરીએ. ‘કામે નહીં જાય તો શું બગડી જશે ?’ એવું કંઈ ના બોલાય. એ ડખોડખલ કહેવાય. જવાનું આપણી સત્તામાં નથી, તો એવું કેમ બોલાય ? એ ડખોડખલ કરે છે ને, તેને લીધે વાત સમજાતી નથી. નહીં તો બહુ જ સહેલાઈથી કામ પતી જાય. સંસાર બહુ સરસ ચાલે તેવો છે. હવે આ વ્યવસ્થિત જો યથાર્થ સમજે ને તો ઓફિસમાં આઠ કલાકનું કામ એક કલાકમાં પતે એવું છે. એક જ કલાકમાં પતે એટલું દર્શન ઊંચું જાય. (પા.૧૦૬)આમ જડ્યું વ્યવસ્થિતપ્રશ્નકર્તા : કોઈ પણ કાર્ય થવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, ચાર વસ્તુની જરૂર પડે, તો એ શું છે ? દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : હું ઘેર મારી રૂમમાં બાંકડા પર આમ બેઠો હોઉં અને ત્યાં બે-ત્રણ દહાડાથી વિચાર આવ્યો હોય કે મારે વાળ કપાવવા છે. વિચાર આવ્યા પછી કામ તરત થતું નથી હોતું. નહીં તો જેમ જેમ દહાડા જાય તેમ બોધરેશન વધતું જાય મહીં. કંટાળો આવ્યા કરે. એટલે પહેલાં મને ભાવ થયો. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પહેલો ભાવ થયો. પછી એક દહાડો નક્કી કરે, આજ તો જવું જ છે. ઘરમાં કહ્યું કે જે બધા આવે તો બેસાડી મૂકજો, હું જઈ આવું છું. હવે ત્યાં આગળ લખેલું હોય, આજ મંગળવાર છે એટલે બંધ છે. શું કારણ ? ક્ષેત્ર ભેગું થયું નહીં. દુકાને જઈને પાછા. જે દહાડે જઈએ ને પાછા પડીએને, પછી આખો દહાડો એ જ સાંભર્યા કરે કે હેંડો જવું છે, જવું છે. પછી બીજે દહાડે ગયો, તે પેલા વાળ કાપનાર છોકરાએ દુકાન ઊઘાડી હતી, તે કહે છે કે ‘કાકા આવો, બેસો.’ મેં કહ્યું, ‘વાળ કાપનાર ક્યાં ગયો ?’ ત્યારે કહે, ‘એ તો હમણે જ ગયા ચા પીવા હારુ. એ દસ મિનિટમાં આવશે.’ એટલે દંડ તો આગલે દહાડે થયેલો એટલે જાણીએને કે પંદર મિનિટમાં કંઈ બગડવાનું નથી. હવે ભાવ થયો, ક્ષેત્ર થયું, દ્રવ્ય મળ્યું નહિ. દ્રવ્ય મળે તો કાળ ભેગો થાય. પછી એ આવ્યો અને કાળ ભેગો થઈને ચક, ચક, ચક વાળ કાપી આપે. એટલે હું વડોદરામાં શું કરું ? જ્ઞાન ન્હોતું ને ત્યારે પણ આવું કરતો. ઘેરથી ત્યાં જઉં, ત્યાં દુકાન બંધ હોય. એટલે અમે જાણીએ કે આજે સંજોગ ભેગા ના થયા. એટલે આવો હિસાબ કાઢીએ અમે બધો. અમે બધું તપાસ કરીએ, કયો સંજોગ ખૂટે છે ? પ્રશ્નકર્તા : બીજે દહાડે જાય તો, પાંચ-છ જણા બેઠા હોય વાળ કપાવવા માટે અને આપણી પાસે ટાઈમ હોય નહીં કે હવે પાછું પા કલાકમાં ઘરે જવું છે. એટલે પાછા આવતા રહેવું પડે. દાદાશ્રી : હા, તે એવું બને. એટલે અમને આવું ટાઈમ ને બધું જોતાં (પા.૧૦૭)જોતાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધું જડેલું કે આ જગત શી રીતે ચાલે છે ? અમારે આજ આમ જ કરવું છે એવું ના હોય. ભેગું થાય છે કે નહીં એટલું જોઈએ અને એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો, નહીં તો કંઈ નહીં. લોક આવી રીતે ના જુએ, નહીં ? તો લોક શી રીતે જુએ ? ‘હું ગયો ને ત્યાં પેલો મળ્યો નહીં, મારું કામ ના થયું’, કહેશે. વેલ્યુએશન શેનું ?કેટલીક હિતકારી વસ્તુ હોય, તે એની મેળે સહજ પ્રાપ્ત થતી હોય તો સારી વાત છે. બની શકે એવું હોય તો થવા દેવું, ન બની શકે તો કંઈ નહીં, સહજાસહજ રહેવું. ડખો નહીં કરવાનો. જે વસ્તુ સહજ ન થવા દે, એનું નામ ડખો. ડખામાં કેટલાય અવતાર પેસી જશે. આની વેલ્યુએશન ના કરશો અને ડિવેલ્યુએશન થવા ના દેશો. વ્યવહારની વેલ્યુએશન કરશો નહીં અને આત્માની ડિવેલ્યુએશન ના થાય એવું જોઈને વ્યવહાર કરજો. વ્યવહાર વગર ચાલે જ નહીં, એવું ના બોલશો. કો’ક વખત બોલવું પડે તો નિશ્ચય વગર ચાલે નહીં, એવું બોલજો. આ વિવેકને સમજી લેવાનો. જ્ઞાની સદા અપ્રયત્ન દશામાંજ્ઞાની પુરુષ તો કોને કહેવાય ? જેમને નિરંતર અપ્રયત્નદશા વર્તે. હવે જગત પ્રયત્નમાં છે પણ તમે પ્રયત્નમાં નથી, પણ યત્નમાં છો. હા, આ ડખો થયેલો હોય, એને સારું-ખોટું ગણવા જાવ છો. અરે પણ ભઈ, તમે તમારી જગ્યાએ બેસી રહો ને, ઊંચાનીચા શું કરવા થાવ છો ? એ સારું-ખોટું તો પુદ્ગલનું થાય છે, એમાં પુદ્ગલની વંશ ગયેલી જ નહીં કોઈ દા’ડોય. પુદ્ગલની વંશ જતી નથી કોઈ દા’ડોય. તમારે એની ચિંતા કરવી નહીં. એમના મનમાં એમ કે પુદ્ગલની વંશ જતી રહેશે, શું થશે આ ? સારાની વંશ જતી રહેશે ને ખોટા વધી જશે. આ પુદ્ગલની વંશ કોઈ દા’ડો (પા.૧૦૮)ગઈ જ નથી. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. યત્નેય ના હોય ને પ્રયત્નેય ના હોય. પ્રશ્નકર્તા : આપને આત્મા જુદો વર્તે એટલે પ્રદેશે પ્રદેશે બધી જગ્યા એ જુદો વર્તે ? દાદાશ્રી : હં, બધી જગ્યાએ. છે જ જુદો, તમારેય જુદો છે. પ્રશ્નકર્તા : છે તો જુદો જ, પણ આ વર્તવાની વાત છે ને ? દાદાશ્રી : વર્તવાનું એટલે પોતાનું જ્ઞાન સર્વસ્વ પ્રકારે છે. જેટલું અજ્ઞાન એટલું ના વર્તે. પ્રશ્નકર્તા : પણ એનો અર્થ એવો કે આખા શરીરમાં વર્તે એ પ્રમાણે ? દાદાશ્રી : હા, એ પ્રમાણે જ વર્તે. જેટલું વર્તે એટલો સહજ. જ્ઞાન થયા પછી દેહ સહજ થાય. કારણ કે ક્રોધ-માન-માયા-લોભ જ્યાં ખલાસ થયાં, ત્યાં સહજતા ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : સહજ થવું એ જ મોટી વાત છે. દાદાશ્રી : મોટી વાત નહીં, છેલ્લી વાત ! છેવટે સહજ જ થવું પડશે ને ? છેવટે સહજ થયા વગર ચાલે જ નહીં. સહજ ઉપરથી સાહજિકતા. સહજ એટલે અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે તો વાંધો નથી. અપ્રયત્ન દશાથી ખોરાક આવે તો વાંધો નથી. પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે, પેલી ચા યાદ આવે, એ બધાં એને વિચાર આવ્યા કરે તો પેલી સહજતા તૂટી કહેવાય ? દાદાશ્રી : સહજતા તૂટી જ જાયને ! સહજતા તૂટે તેથી કંઈ આત્મા ખાતો નથી, એ તો ખાનારો ખાય છે. છેવટે દેહને સહજ કરવાનો છે. આહારી થયો પણ સહજ કરવાનો. સહજ થવાની જ જરૂર. સહજ થતાં ટાઈમ લેશે. પણ સહજ એટલે પૂર્ણતા. (પા.૧૦૯)સહજ યોગની રીતપ્રશ્નકર્તા : દેહને સહજ થવા માટે કંઈ સાધન તો જોઈએને ? દાદાશ્રી : હા, સાધનો વગર તો સહજ કેમ કરીને થાય ? અને જ્ઞાની પુરુષનાં આપેલાં સાધનો જોઈએ પાછાં, કેવાં ? પ્રશ્નકર્તા : ગમે એ સાધન ના ચાલે ? ગમે એનું આપેલું ના ચાલે ? દાદાશ્રી : સહજ યોગ પ્રાપ્ત કરવો હોય, જેને અજ્ઞાન દશા છે, ભ્રાંતિની દશા છે, તેમાંય સહજ રીતે વર્તવાની શરૂઆત કરે ત્યારે સહજ માર્ગ પ્રાપ્ત થાય. સવારમાં ચા છે તે એ મૂકી જાય તો પીવી અને ના મૂકી જાય તો કંઈ નહીં. ખાવાનું એ મૂકી દે તો ખાવું, નહીં તો માંગીને (બોલીને) ખવાય નહીં. ત્યાં આમ આમ (સંજ્ઞા) કરીનેય ના ખવાય. એ સહજ યોગ બહુ વસમો છે આ કાળમાં તો. સતયુગમાં સહજ યોગ સારો હતો. અત્યારે તો લોકો માગ્યા વગર મૂકે જ નહીંને ! પેલો સહજ યોગવાળો માર્યો જાય બિચારો, આ મુશ્કેલ વસ્તુ છે. અહીં સૂઈ જાવ તો સૂઈ જવાનું. માંગવાનો વખત ન આવે. સહજ પ્રાપ્ત સંયોગોમાં જ રહેવું પડે તો સહજ યોગ છે. બાકી બીજા બધા તો લોકોએ કલ્પિત ધર્મને ઊભા કર્યા છે. સહજ યોગ જ ના થાય. એ તે કંઈ લાડવા ખાવાના ખેલ નથી. બધી કલ્પનાઓ કર કર કરેલી. એક મહિનો સહજ રહેને તો પછી બીજો કોઈ સહજ યોગ કરવા જેવો જ નથી કશો. એક જ મહિનો સહજ રહે એટલે બહુ થઈ ગયું. આદર-અનાદર નહીં, તે સહજપ્રશ્નકર્તા : એક દિવસ સહજ રીતે કાઢવો હોય તો કેવી રીતે રહેવાય ? એનું વર્તન કેવું હોય ? દાદાશ્રી : સહજ પ્રાપ્ત સંયોગો, બહાર અને અંદર જે મનના, બુદ્ધિના સંયોગોથી પર થાય ત્યારે સહજ પ્રાપ્ત થાય. અંદર જે બૂમાબૂમ કરે મન-બન (પા.૧૧૦)બધાં, એ બધાંને છેટા રહીને પોતે જુએ-જાણે આ બધું. અને બહાર સહજ પ્રાપ્ત સંયોગો. બે વાગ્યા સુધી જમવાનું ના મળે તો બોલાય નહીં. ત્રણ વાગે, સાડા ત્રણે આવે તો તે વખતે, જે વખતે આપે તે... સહજતામાં મળ્યું હોય તે ભલે ને, દૂધપાક-પૂરી ને માલપૂડા ખા, જેટલા ખવાય એટલા. અને પછી રોટલો ને શાક મળ્યું હોય તેય ખા. માલપૂડા ને દૂધપાકનો આદર કરીશ નહીં અને રોટલાને ખસેડીશ નહીં. હવે એકનો આદર કરે ને પેલાનો અનાદર કરે, ધંધો જ શો ? પ્રશ્નકર્તા : દાદા, સહજ થવું, સહજ થવું, એ બધું વાંચ્યું’તું બહુ, પણ સહજ કેવી રીતે થવાય, તે આ આપે કીધું ને, કે દૂધપાક જો આવતો હોય તો ખાને ને રોટલો આવતો હોય તો તે ખા, એ આપની વાત ઉપરથી પછી એ વસ્તુ સહજ કેવી રીતે થવું, એ સમજમાં બેસી જાય. દાદાશ્રી : એકનો અનાદર નહીં ને એકનો આદર નહીં એ સહજ. આવી પડેલું એનું નામ સહજ. પછી છો કહે, ભઈ, તળેલું છે, તળેલું છે, નડેને ? મૂઆ, તળેલું તો વિકૃત બુદ્ધિવાળાને નડે. સહજને કશું નડે નહીં. આવી પડેલું ખા. આવી પડેલું દુઃખ ભોગવ, આવી પડેલું સુખ ભોગવ. દુઃખ-સુખ હોતું જ નથીને જ્ઞાનીને ! પણ આવી પડેલું. અને કડવું લાગે તો રહેવા દે ? પ્રશ્નકર્તા : ના, કાઢી નાખે. દાદાશ્રી : માટે એ ‘શું મોઢું થતું હોય’ તે થવા દેવું. આપણે ડખલ કરવી નહીં, એનું નામ સહજ. આ માર્ગ સહજનો છે બધો. પ્રશ્નકર્તા : ‘સહજ મિલા સો દૂધ બરાબર’, એમ કહે તો સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન છે, તો પુરુષાર્થમાં શું ફેર ? દાદાશ્રી : સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે. અજ્ઞાન હોય તો અસહજ થાય અને જ્ઞાન હોય તો સહજ થયા કરે. અજ્ઞાન હોય તો અસહજ છેને જગત આખું ? (પા.૧૧૧)આ તો અક્રમ વિજ્ઞાન છે, ક્રમ-બ્રમ કશું નહીં. કરવાનું કશું જ નહીં. કરે ત્યાં આત્મા ના હોય. કરે ત્યાં સંસાર ને સહજ ત્યાં આત્મા ! લગામ, કર્તાપણાનીપ્રશ્નકર્તા : હવે અમારે કેટલા વાગે ઊઠવું જોઈએ ? સવારના કાર્યક્રમો શું કરવા જોઈએ અને જીવન કેવી રીતે જીવવું જોઈએ ? એ જરા સમજાવો. દાદાશ્રી : હા, સમજાવીએ. એવું છે કે એક દા’ડો લગામ છોડી દો, શનિવારના દા’ડે રાત્રે કે રવિવારના દિવસે સવારથી લગામ છોડી દેવી, કે હવે મારે કંઈ ચલાવવું નથી. જુઓ, ચાલે છે કે આપણે ચલાવવું પડે છે ? અત્યાર સુધી લગામ ઝાલી’તી. એટલે આપણને એમ લાગે કે હું જ ચલાવું છું. પણ જ્યારે લગામ છોડી દઈએ તો ચાલે કે ના ચાલે ? પ્રશ્નકર્તા : ચાલે. દાદાશ્રી : સવારમાં ચા-નાસ્તો ના આવે ? મને લાગે છે, સવારમાં ઊઠાય જ નહીં ને ? ઊઠાય નહીં ? પ્રશ્નકર્તા : ઊઠાય ખરું. દાદાશ્રી : તે આ તપાસ નથી કરી ? એક દા’ડો છોડી દેને લગામ, અને તો બીજે દા’ડે ખબર પડે કે આ તો ઊલટું સારું ચાલ્યું. આ લગામ પકડી તેથી જ બગડે છે. સહજ થવા લગામ છોડી દોપ્રશ્નકર્તા : લગામ છોડી દેવાની એટલે બરાબર સમજણ નથી પડતી. લગામ છોડી દેવાની એટલે શું ? દાદાશ્રી : આપણા ઘરના બળદ હોયને કે જેણે આપણું ઘર જોયું છે એવા બળદોને પછી લગામ ખેંચ ખેંચ કરીએ અને બિચારાને હેરાન કરીએ એના કરતાં છોડી દેને, એ ઘેર જ પહોંચાડશે. એ કંઈ ઘાંચમાં પડવા ના દે. એ અવળું લાગેને તો તરત ફરીને જાય. કારણ કે એને પોતાની સેફસાઈડ (પા.૧૧૨)જોવાની છેને ? અને આ મૂર્ખ હાંકશેને તો મારી નાખશે. એવું આ ઉદયકર્મ છેને, તે ફર્સ્ટ કલાસ રસ્તો ખોળી કાઢે. હાંકેડુ આ (અહંકાર) મૂઓ અવળો હાંકે. બધું બગાડે પાછો. સમજણ જ નહીંને ! એટલે આપણે કહીએ કે તું લગામ છોડી દેને છાનોમાનો. એ દહાડે ચાલે છે કે નહીં, એ જો તો ખરો ? એટલે એને ખાતરી થાય, તે ફરી બીજે દહાડે ચાલશે. પ્રશ્નકર્તા : એટલે સહજ રીતે જે ચાલતું હોય એ ચાલવા દેવાનું એ દિવસે ? દાદાશ્રી : લગામ નહીં પકડવાની. ચાલ્યા કરે છે એ બરોબર છે. સહજ શબ્દ તું જે સમજું છું એ સહજ જુદી જાતનું છે. અત્યારે અહીં સહજ કહેવાય નહીં. સહજ તો છેલ્લા સ્ટેશનની વાત છે. પ્રશ્નકર્તા : ના, એટલે દાદા, એની મેળે જ ઉદયકર્મ પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે ચાલવા દેવું ? દાદાશ્રી : ઉદયકર્મ જે રીતે કરે છે તે પ્રમાણે કરવા દેવું. વ્યવસ્થિતનો અનુભવ થવા...પ્રશ્નકર્તા : તો આમાં કર્તા-અકર્તા, બે ભાવ કેવી રીતે સિદ્ધ કરવા ? દાદાશ્રી : આપણે રવિવાર હોય તો નક્કી કરવાનું મળસ્કે ઊઠતાં, દાદાની પાસે માંગી લેવાનું કે આજે હું લગામ છોડી દઉં છું. લગામ છોડીને બેસવાનું. જેમ પેલો હાંકનારો માણસ લગામ છોડીને બેસેને તેમ લગામ છોડીને બેસવાનું ને પછી જોયા કરવાનું, ગાડું ચાલે છે કે બંધ થઈ ગયું. અગર ખાડામાં નાખે છે એ બધું જોવાનું. લગામ પકડતાં હોય ત્યાં સુધી તો પોતે હાંકેડુ થયો, ડ્રાઈવર થયો. તે લગામ જ છોડી દીધી અને દાદાને સોંપી દેવી લગામ. પછી જોવાનું આપણે, ચાલે છે કે નથી ચાલતું ? ઊલટું સારું ચાલશે. આ ચલાવી ચલાવીને તો દમ કાઢી નાખ્યો. બધા એક્સિડન્ટ જ તેથી કરે છે ને ! આ લગામ હાથમાં છે, તેથી તો એક્સિડન્ટ થાય છે. આ તમને વ્યવસ્થિતની ગેડ બેસી, એટલે તમને અનુભવમાં આવી ગયું (પા.૧૧૩)અને ના અનુભવમાં આવ્યું હોય તો લગામ છોડી દે, પાંચેવ (ઈન્દ્રિયોના) ઘોડાની. અને પછી રથ કઈ બાજુ જાય છે એ જોજે. તે પછી કહે છે, બહુ સારું પડ્યું આ તો, એટલું બધું સરસ ગયું. અને ઘોડાને અહીં લોહી નીકળતું હતું તે બંધ થઈ ગયું. આ આને હાંકતા ના આવડે, તે શું કરે છે ? એ ચઢાણ આવે ને, ત્યારે ખેંચ ખેંચ કરે છે અને ઢાળ આવે, ઊતરવાનું આવે ત્યારે ઢીલું મૂકે છે, એ ઠોકર ખઈ જાય. આના જેવું જ હોય છે હાંકવાનું. હવે આને ભાન નહીં ને હાંકવા બેઠો છે. તે પેલાને બિચારાને લોહી નીકળ્યું છે. પેલા બિચારા ઘોડાય સમજી જાય કે આ ચક્કર કો’ક મળી ગયો આજે. આ શેઠ ચક્કર મળ્યા છે. શેઠ કંઈક સારા મળશે ત્યારે આપણી દશા પાંસરી થશે. ત્યારે આરો મળી આવશે. એટલે આવું, એના કરતાં છોડી દે ને તું. તે છોડાવી દીધા પછી છે તે કહે છે, ‘બહુ સરસ આ તો, વ્યવસ્થિત બહુ સુંદર.’ ત્યારે મેં કહ્યું, ‘થોડુંક વ્યવસ્થિત ઉપર બેસી જા. લગામ ના ઝાલીશ, મૂઆ.’ એક રવિવારના દહાડે એવું ના થાય ? મહિનામાં ચાર દહાડા ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : તે ચાર રવિવાર લગામ છોડી દો તો ખબર પડી જાય, તમને અનુભવમાં આવી જાય, કર્તા-અકર્તા ભાવ. તે લગામને સવારના પહોરમાં ઊઠ્યો ત્યારથી ઝાલે. મૂઆ ના ઝાલીશ, છોડી દે અહીંથી. કાયમ અમારી લગામ છૂટેલી હોય. લગામ અમારા હાથમાં જ ના હોય. ઘોડા ચાલ્યા જ કરે. તમારે કો’ક દહાડેય તમે અભ્યાસ કરી શકો ને ? અમારે કાયમ હોય. લગામ છોડી દેવાની કે બીક લાગે છે છોડી દેતાં ? ગોઠવો એક દિવસનો પ્રયોગપ્રશ્નકર્તા : લગામ એટલે ‘હું કરું છું’ એ ભાવ છોડી દેવાનો ? દાદાશ્રી : નહીં, લગામ એટલે ‘હું કરું છું’ એ ભાવ નહીં, બધો જ ભાવ. લગામ જ છોડી દેવાની. રોજ લગામ જ પકડી છે. તે દહાડે લગામ છોડી દેવાના ભાવ નક્કી કર્યા, ‘દાદા, તમને લગામ સોંપી, હવે હું તો જ્ઞાતા-દ્રષ્ટા.’ (પા.૧૧૪)એટલે પછી રહ્યું જ નહીંને ! પછી તો ખબર પડી જાય બધું આખો દહાડો. ખબર પડે કે ચા મળે છે કે નથી મળતી ? જમવાનું મળે છે કે નથી મળતું ? જમવામાં મરચું આવે છે કે નથી આવતું, મરચું જોઈતું હોય તો ? બધું આવે એવું છે. આ તો ધીરજ રહે નહીંને માણસને અને એવું ભાન જ નથી ને ! ‘હું કરું છું’ તો થાય છે આ અને વર્લ્ડમાં કોઈ સંડાસ જવાની શક્તિવાળો કોઈ માણસ પાક્યો નથી. જ્યારે અટકે ત્યારે ખબર પડે કે આ સ્વતંત્ર શક્તિ મારી નહોતી. એ ડૉક્ટરોને ખબર પડે ક્યારે ? જ્યારે અટકે ત્યારે. ત્યારે ખબર પડી જાયને ? બીજા ડૉક્ટરને બોલાવવો પડે ને ? ત્યારે આપણે ના કહીએ, ‘ડૉક્ટર, તમે તો બહુ મોટા હતા ને !’ ત્યારે કહે, ‘ના, મારે બીજાને બોલાવવા પડે.’ એટલે પોતાની સ્વતંત્ર શક્તિ નથી આ. એટલે તે દહાડે કર્તા-અકર્તા ભાવ બેઉ માલમ પડી જાય. તે પાંચ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઘોડા છે, હવે આ પાંચ ઘોડા ચાલે છે. હાંકનારમાં સમજણ ના હોવાથી ખેંચ ખેંચ કરે ત્યારે ઘોડો ઠોકર ખાય જાય અને ગાડી ઊંધી પડે. એમ આપણા લોકોને હાંકતાં આવડતું નથી. એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું કે ભઈ અર્જુન, તું મહીં બેસ, તને નહીં આવડે અને ભગવાન જાતે બેઠા. ભગવાન બેઠા એટલે વ્યવસ્થિત બધું આ ચલાવે છે. એટલે તમારે લગામ છોડી દેવી. આ ઘોડા કઈ બાજુ જાય છે તે જોયા કરો. વ્યવસ્થિત સમજાશે કે ઓહોહો ! આખો દહાડો લગામ છોડી દીધું તોય આ ચાલ્યું. ખાવા-પીવાનું, સંડાસ-બંડાસ, વેપાર-બેપાર બધું થયું ? ત્યારે કહે, ‘હા, બધું સારું થયું, રોજના કરતાં સારું થયું.’ લગામ માત્ર છોડી દેવાની, તે રાતથી જ નક્કી કરવાનું કે સવારમાં ઊઠ્યા ત્યારથી લગામ દાદાને સોંપી દેવી છે. જેવું અર્જુને કૃષ્ણ ભગવાનને સોંપી દીધી’તીને એવી સોંપી દેવાની. આ લગામ છોડી દેવાનો પ્રયોગ અઠવાડિયામાં એક દહાડો તમે કરી તો જુઓ ? રવિવાર હોય તે દહાડે સવારના પહોરમાં લગામ છોડી દેવાની અને કહેવાનું કે ‘દાદા, આ નાડ તમને સોંપી.’ આ પાંચેય ઇન્દ્રિયરૂપી ઘોડાઓની નાડ અમને સોંપી દેવાની અને તમારે તો ખાલી જોયા જ કરવાનું (પા.૧૧૫)કે કેવી રીતે ચાલે છે તે. આ ગાડી ખાડામાંય નહીં પડવા દે ને કશુંય થવા દેશે નહીં. અમે તમને અઠવાડિયામાં એક દહાડો લગામ છોડી દેવાનું કહીએ છીએ. વખતે ભૂલચૂક થઇ જાય તો ‘દાદા, આ ફરીથી લગામ પકડી લીધી તેની માફી માંગું છું ને હવે નહીં પકડું’ એવું બોલીને પાછી લગામ ફરીથી છોડી દેવી. શરૂઆતમાં ભૂલ થાય, પ્રેક્ટિસ પડતાં જરા વાર લાગે. પછી બીજી, ત્રીજી વખતે ‘કરેક્ટનેસ’ આવી જાય. પછી એથી આગળ વધવા માટે, એથી આગળનો પ્રોગ્રામ જોવો હોય તો ‘ચંદુભાઇ શું બોલે છે, એને જો જો કરવાનું કે આ કરેક્ટ છે કે નહીં ?’ જ્ઞાન જાણી, રહેવું જાગૃતપ્રશ્નકર્તા : દાદા, લક્ષ તો પેલી છેલ્લી દશાનું જ છે કે એ દશા પૂરી થવા માટે આ જે જે કચાશો છે, જ્યારે જાણીએ કે છેલ્લી દશા આ છે ને આવું હોવું ઘટે, તો હવે તેને માટે શું કરવું ? દાદાશ્રી : એ તો જ્યારે એ વ્યવહાર બધો છૂટે ત્યારે કામ થાય તારું. પ્રશ્નકર્તા : હવે અપ્રયત્ન દશાએ પહોંચવા માટે એ ફાઈલમાંથી નીકળવું કઈ રીતે ? દાદાશ્રી : એ તને ખબર પડેને, એ કેવી રીતે ? આ વ્યવહાર તને વળગ્યો નથી, તું વ્યવહારને વળગ્યો છે. અમે તો આ ચેતવીએ કે ભઈ, આ બધી નુકસાનકર્તા વસ્તુઓ છે. તમારે જે જોઈએ છે તેમાં બાધક વસ્તુઓ છે એટલું ચેતવીએ. પછી એમને ગમતી હોય તો કર્યા જ કરે. એમાં મારે ના કહેવાનું ક્યાં છે ? પ્રશ્નકર્તા : જ્યારે ત્યારે તો છૂટવું તો પડશે જ ને, એમાં છૂટકો થોડો છે ? દાદાશ્રી : હા, પણ એટલે જ્ઞાન જાણવાનું પછી. જેને ઉતાવળ હોય તેને અપરિગ્રહી થવું જોઈએ. હા, નહીં તો ભજિયાં ખાતાં ખાતાં જવાનું. બેમાંથી એક નક્કી થવું જોઈએ. (પા.૧૧૬)પ્રશ્નકર્તા : હવે જેને પૂરું કરી લેવું છે, એને અપરિગ્રહી દશા જોઈશે. અત્યારનો આખો વ્યવહાર ઊભો છે, તેમાં કેવી રીતે નિકાલ કરીએ ? તેમાં કેવી રીતે અપરિગ્રહી દશા લાવવી ? દાદાશ્રી : એ તો તારું તને પોતાને જ ખબર પડશે. પ્રશ્નકર્તા : એની ચાવી આપોને. દાદાશ્રી : ના, પણ આ ઊભી કોણે કરી ? તેં કરી ? તું ભણતો હતો, તે નોકરીમાં શી રીતે આવ્યો ? તેં શું કરેલું ? એ તો વ્યવહારને વગળ્યો છે ને પછી પાછો કહે છે કે હું કરું છું. આ બધું ચોંટી પડ્યું છે. પ્રશ્નકર્તા : આ પોતે વ્યવહારને વળગ્યો છે તો પછી જે ઘડીએ છોડવો હોય તે ઘડીએ એ વ્યવહાર છોડી દેવાય ? એને કેવી રીતે છોડી દેવાય ? દાદાશ્રી : જેવી રીતે બંધાયો તેવી રીતે છોડી દેવાનો. પ્રશ્નકર્તા : પછી ઘરની ફાઈલો રહી, ઘરની ફાઈલોનું શું ? દાદાશ્રી : ફાઈલોનો નિકાલ આપણે કરવાનો છે ને ? પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી એ વચ્ચે ઊભું રહ્યા કરે ને ? દાદાશ્રી : એ તો વ્યવહારનો નિકાલ કરી નાખે ઝટપટ. પ્લેનની ટિકિટ કઢાવી હોય ને વરસાદ એકદમ વરસ્યો, તે નિકાલ કર્યા વગર બેસી રહે ? પ્રશ્નકર્તા : એ તો માર્ગ કાઢીને પહોંચી જાય. જાણો વ્યવહાર ઉદયસ્વરૂપભગવાને ફરજિયાત વ્યવહારને શુદ્ધ વ્યવહાર કહ્યો. પ્રશ્નકર્તા : હા, તો નોકરી માટે જવું પડે એને ? દાદાશ્રી : ના, નોકરી એ ફરજિયાત વ્યવહાર નથી. એ છે જ નહીં, (પા.૧૧૭)નોકરી કરવાનું છે જ નહીં. નોકરી, વેપાર કે ખેતીવાડી કરવી, એવું છે જ નહીં ને ? પ્રશ્નકર્તા : તો એ ઉડાવી દેવાય એવી વસ્તુ થઈ ને ? દાદાશ્રી : એ તો સુખ હોય જ નહીંને ! જેને આગળની દશાઓ પ્રાપ્ત કરવી છે, તેને એ હોય જ નહીં. એ તો સમભાવે નિકાલ કરતો હશે, તેને ચાલે. પ્રશ્નકર્તા : આમ આત્મજાગૃતિ ઉત્પન્ન થવી અને વ્યવહાર કરવો, પોતાની બધી શક્તિઓ વેડફીને વ્યવહાર કરવા જેવું થાય છે. દાદા પાસે જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અને ત્યાં જઈને બધી શક્તિ વેડફી નાખવી, એના જેવું થાય છે એ તો. દાદાશ્રી : એવું છે ને કે આ ખાવાનું શરીરની જરૂરિયાત છે ને, નેસેસિટી. એના વગર શરીર પડી જાય, મરી જાય. એટલા પૂરતો જ વ્યવહાર છે અને તેય ભગવાને કહ્યું કે એક જ વખત ખાજે. તેથી કંઈ મરી નહીં જવાય. તે વહોરીને ખાજે અને પીડા નહીં આપણે વાસણો-બાસણો લાવવાની, કપડાં માંગીને લઈ લેજે. પછી આખો દહાડો પુરુષાર્થ કર્યા કરજે, ઉપયોગમાં રહેજે. પ્રશ્નકર્તા : ઉદય સ્વરૂપે આ રહ્યા કરે અને પોતે ઉપયોગમાં રહે ? દાદાશ્રી : હા, આખો દહાડો ઉપયોગમાં રહેને, પછી ભાંજઘડ નહીં, એ પીડા નહીં. આવશ્યક શું ? અનાવશ્યક શું ?આ તો પોતે જંજાળથી વીંટાય છે. રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો તે લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે. પછી ત્યાં ખોદ ખોદ ખોદ કરે, ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે. ઊલટું આ જંજાળ વધાર વધાર વધાર કરે છે, મૂઓ. કેટલી જંજાળ રાખવા જેવી હતી ? (પા.૧૧૮)પ્રશ્નકર્તા : ખાવા-પીવા જેટલી. દાદાશ્રી : હંઅ, આવશ્યક જેને કહેવામાં આવે. આવશ્યક એટલે જેના વગર ન ચાલે. ના ખઈએ તો શું થાય ? મનુષ્યપણું નકામું જાય. શું થાય ? એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેઢમી (પૂરણપૂરી)ને એવું તેવું બધું ખા. જે કંઈ ખીચડી કે દાળ-ભાત હોય પણ આવશ્યક, એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. શેના પૂરતું ? આવશ્યક. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું ચાલે ? પાછું એનું પરિણામ આવે, રિઝલ્ટ તો આવે કે ના આવે, જે કરો તેનું ? પ્રશ્નકર્તા : આવ્યા જ કરે. દાદાશ્રી : શું પરિણામ આવે ખાધેલાનું ? પ્રશ્નકર્તા : સંડાસ જવું પડે. દાદાશ્રી : પછી પાણી પીધું તો ? બાથરૂમમાં દોડધામ કરવી પડે. શ્વાસ લીધો, તે ઉચ્છ્વાસ થાય. પણ આની જરૂરિયાત છે. શ્વાસ ના લઈએ તોય નુકસાન, પાણી ના લે તોય નુકસાન. આ બધી આવશ્યક ચીજો. હવે કપડું એ પણ આવશ્યક છે. શિયાળાને દહાડે શું થાય ? કારણ કે આ બધી સીઝનને આધીન માણસ, એ માણસને પોતાની પ્રકૃતિને આધીન બધી સીઝન ના થાય. કોઈ માણસ શિયાળાને દહાડે ગરમ કપડાં વગર રહી શકે છે, ત્યારે ઉનાળામાં તેનાથી રહેવાય નહીં. એવું હોય છે ને ? એટલે કંઈ પણ કપડું જોઈએ. પણ કપડું કેવું હોય ? ખાદીનું હોય, બીજું હોય, ગમે તેવું હોય, ઓછા ભાવનું અને આપણે કપડું શરીર ઢાંકે એટલું જોઈએ. આ મેં કોલર કર્યો છે એ ના જોઈએ. આ કફ કર્યો છે ને એની કંઈ જરૂર નહીં. કેવા કોલર ને કફ કરે છે ને ? અન્આવશ્યક. એટલે આવશ્યક પૂરતું જો સમજે તો કોઈ જ જાતનું માણસને દુઃખ નથી. આ જાનવરોને દુઃખ નથી, તો પછી માણસને દુઃખ હોતું હશે ? આ તો અનાવશ્યક વધાર વધાર કરે. સ્લેબ કર્યો તે કર્યો પણ મેંગ્લોરી નળિયાં ઢાંક્યા ઉપરથી. બધું વધારે છે કે નથી વધારતા ? તમે થોડું ઘણું વધારેલું ? (પા.૧૧૯)પછી બૂમો પાડે, ‘યા ખુદા પરવરદિગાર ! ફસાયા’ કહેશે ! અરે મૂઆ, તેં વધાર્યું છે ને તો પછી એમાં ખુદા શું કરે તે ? આપણે અનાવશ્યક વધારીએ એમાં ખુદા શું કરે બિચારા ? તમને કેમ લાગે છે ? બોલતા નથી ? આપણે અનાવશ્યક જરૂરિયાતો વધારીએ અને ખુદાને પછી નામ દઈએ કે હે ખુદા ! હું ફસાયો. એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ, તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને. ગમે એટલી અનાવશ્યક ચીજો હોય એની પાસે રાજમહેલમાં, તોય બાર-સાડા બાર થાય એટલે પાછું આહાર લેવા તો આવવું જ પડશે ને ! કારણ કે એ આવશ્યક ચીજ છે. બીજું નહીં હોય તો ચાલશે. પાણી છે, ખોરાક છે, હવા છે, એ આવશ્યક ચીજો છે. શું કામની વાત છે ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : હવે અનાવશ્યક ઓછાં થાય એવાંય નથી. કોઈ કહેશે, મારે ઓછાંય કરવાં છે પણ થતાં નથી. છોકરાંની વહુ બૂમાબૂમ કરે છે, ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે. પણ મનમાં એટલો ભાવ હોય કે મારે ઓછાં કરવાં છે. એટલો ભાવ થાય તોય બહુ થઈ ગયું. એવું છે ને, આપણે જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખવો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે, છૂટકો જ નથી ને ! જેટલું વધારે અનાવશ્યક, એટલી વધારે ઉપાધિ. આવશ્યકેય ઉપાધિ છે છતાંય ઉપાધિ ગણાય નહીં, જરૂરિયાત છે એટલે. પણ અનાવશ્યક એ બધી ઉપાધિ. દરેક વસ્તુ, આવશ્યક બધું, વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની મેળે જ થાય. પેશાબ કરવાની રાહ ના જોવી પડે. એની મેળે જ થાય અને તે જગ્યા ના જુએ. અને આમને તો આ બુદ્ધિશાળીઓને જગ્યાએ જોવી પડે. પેલું તો જ્યાં પેશાબ કરવાનું થાય ત્યાં થઈ જાય, એનું નામ આવશ્યક બધું. (પા.૧૨૦)સહજતાની છેલ્લી દશા કેવી ?પ્રશ્નકર્તા : આ તો એકદમ છેલ્લી દશાની વાત થઈને ? દાદાશ્રી : છેલ્લી જ ને ! ત્યારે બીજી કઈ ? છેલ્લી દશાના ઉપરથી આગળની દશાઓ આપણે કરતાં જઈએ તો એવી દશા ઉત્પન્ન થાય. પણ આગળથી જ દુકાન મોટી કરતા ગયા હોય તો ? છેલ્લી દશા મોડી આવે. પ્રશ્નકર્તા : છેલ્લી દશાનું પિક્ચર સામે હોય તો જ ત્યાં સુધી જવાયને ? દાદાશ્રી : તો જ જઈ શકીએ. આ એક પિક્ચર છેલ્લી દશાનું આપું છું. ફક્ત આવશ્યક એકલાં જ હોય. તેય થાળી-લોટો ના હોય અને આવશ્યકેય મુતરડી આવતાં સુધી રાહ ના જુએ. એ સહજ એટલે ત્યાં જ, ગાયો-ભેંસોની પેઠ. એમને શરમ-બરમ કશું હોય નહીં. ગાયો-ભેંસોને શરમ આવે છે ? કેમ આ લગ્નના માંડવાની અંદર ગાય ઊભી હોય તોય ? તે ઘડીએ વિવેક ના કરે ? પ્રશ્નકર્તા : જરાય નહીં, કોઈનો વિવેક ના રાખે. બધાના કપડાં બગાડે. એટલે આવી સહજ સ્થિતિ વખતે પોતાનો ઉપયોગ કેવો હોય ? દાદાશ્રી : બિલકુલ કમ્પ્લિટ ! દેહ સહજ તો આત્મા બિલકુલ કમ્પ્લિટ !! પ્રશ્નકર્તા : તો એની બહારની પ્રત્યે દ્રષ્ટિ જ ના હોય ? દાદાશ્રી : એ બધું કમ્પ્લિટ હોય. બહાર એ બધું દેખાયા કરે. દ્રષ્ટિમાં જ આવી ગયું બધું અને એ જ સહજ આત્મસ્વરૂપ, તે પરમ ગુરુ. જેનો આત્મા આવો સહજ રહેતો હોય, તે જ પરમ ગુરુ ! પ્રશ્નકર્તા : તો પછી આ અત્યારે કહે ને કે આ પેલી મૂતરડી ખોળે કે શરમ આવે, એ કોને ? એ શું વસ્તુ છે ? દાદાશ્રી : વિવેક રહ્યો જ ને ? તે સહજતા ના રહેવા દે. સહજતામાં તો વિવેક કશું જ ના હોય. સહજતામાં તો એ ક્યારે ખાય કે જ્યારે પેલો આપે ત્યારે ખાય, નહીં તો માંગવાનુંય નહીં, વિચારેય નહીં, કશુંય નહીં. તે ભૂખ (પા.૧૨૧)લાગતી હોય તો એમાંય પોતે નહીં. પ્રશ્નકર્તા : ભૂખ લાગતી હોય ત્યારે શું કરે ? દાદાશ્રી : કશુંય નહીં. પ્રશ્નકર્તા : એને ઉદય પણ એવા હોય ને, ભૂખ લાગે ત્યારે વસ્તુ ભેગી થાય. દાદાશ્રી : એ તો નિયમ જ હોય, ભેગી થઈ જાય. બધું ભેગું થઈ જાય, સહજ. પ્રશ્નકર્તા : એટલે પછી તો આવશ્યકમાં જાય જ. ખાવાનું હોય, કપડાં નહીંને ? આવશ્યકમાં કપડાં નહીંને ? દાદાશ્રી : કશું હોય નહીં. આવશ્યક એટલે કપડાં-બપડાં કશું આવે નહીં, દેહની જ જરૂરિયાત. સહજ દશા પહોંચવાની પેરવીમાં...પ્રશ્નકર્તા : અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતાંય ઘણી બધી વધારે ચીજો છે અત્યારે અને ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો સાંધો કયો ? રસ્તો કયો ? દાદાશ્રી : આ ઓછું થાય તેમ તેમ. જેટલું વધારીએ તો મોડું થશે. ઓછું કરીએ તો વહેલું થશે. પ્રશ્નકર્તા : ઓછું કરવા માટે શું કરવાનું ? દાદાશ્રી : તારે નથી પૈણવું તો ઓછું નહીં થાય ? અને પૈણવું હોય તેને ? પ્રશ્નકર્તા : વધી જાય. દાદાશ્રી : હા, તો બસ. કંઈ નિશ્ચય તો હોય ને ? બધું યોજનાપૂર્વક હોય કે એમ ને એમ ગપ્પું હોય ? મોક્ષે જવું છે તો યોજનાપૂર્વક હોયને ? (પા.૧૨૨)પ્રશ્નકર્તા : યોજનાપૂર્વક એટલે પોતે કરવું પડે છે એવું ? યોજનાપૂર્વક પોતે ગોઠવવું પડે છે ? આવાં ડિસિઝન બધાં ગોઠવવાં પડે ? દાદાશ્રી : ગોઠવવાનાં નહીં, એ તો ગોઠવાઈ જ ગયેલાં હોય બધાં. આ તો આપણે છે તે આ વાતો કરીએ છીએ. આ આમાંથી જેટલો ભાવ ઓછો થાય તો રાગે પડે તો સહજ થાય, નહીં તો સહજ શી રીતે થાય તે ? આપણા મનમાં માનેલું ચાલે નહીં. મનમાં માનેલું એક પણ ચાલ્યું, તે ચાલતું હશે ? પ્રશ્નકર્તા : આ પરણવાનું નહીં, તો એ દિશાની આખી જંજાળ ઓછી થઈ જાય... દાદાશ્રી : જેટલી જંજાળ ઓછી એટલો સહજ થતો જાય અને એટલો જ તે હેલ્પફુલ થાય. જંજાળ આગળ વધારીએ તો સહજતા ઓછી થતી જાય. આપણે કંઈક જ્ઞાન આપ્યું, ત્યારથી થોડોક સહજ થયો છે, કંઈક અંશમાં. અને કોઈ કહેશે, આ ચાલોને, હવે દાદાએ ‘ફાઈલો’ કહી છે એ જેટલી કરીએ, એનો વાંધો શું છે હવે ? તે આપણે કંઈ ના પાડીએ, એને અવળું કરવું હોય તો ? પ્રશ્નકર્તા : આ બહારની વસ્તુઓ ઓછી થવા માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે એ વસ્તુઓ એને દુઃખદાયી લાગ્યા કરે. પ્રશ્નકર્તા : હવે તો આપે દેખાડ્યું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી દેવાય એટલી પાડી નાખવી જોઈએ, એવું જ થયું ને ? દાદાશ્રી : હં. બધી ન હોવી જોઈએ. વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવું. પ્રશ્નકર્તા : એટલે એ છોડી દેવાનું શેમાં રહે ? આ વસ્તુઓ ના હોવી જોઈએ કહ્યું ને ? દાદાશ્રી : છોડી દેવું, શબ્દો નહીં જોખવાના આમાં. આ તો અંદર આપણે સમજી જવાનું કે આ આનાથી ક્યારે છૂટાય ? પોતાને અહિતકારી લાગે (પા.૧૨૩)તો તરત છોડી દે. જુઓને, પૈણવાની વખતે ના પાડી દે છે, ચોખ્ખીચટ્ટ. પ્રશ્નકર્તા : આ પોતાને અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબતમાં પકડાવું જોઈએ. દાદાશ્રી : બધું લાગે ત્યારે દહાડો વળે ને ! બીજામાં ઈન્ટરેસ્ટ છે હજુ તો. તમને પૈણવામાં ઈન્ટરેસ્ટ નથી તો ચોખ્ખું કહી દો છો, ન્હોય મારું. બહારના સંજોગો આવે તોય ફેંકી દો છો. એવું બધું હોવું જોઈએને ? પરિગ્રહના સાગરમાં સંપૂર્ણ અપરિગ્રહીપ્રશ્નકર્તા : તો આ પરિગ્રહને સંકોચવો એ લિમિટ કે પરિગ્રહની મર્યાદા બાંધવી ? દાદાશ્રી : આ જ્ઞાન પછી તમારે બધુંય ડિસ્ચાર્જ છે. પરિગ્રહ વધારવો તેય ડિસ્ચાર્જ અને પરિગ્રહની મર્યાદા કરવી તે ય ડિસ્ચાર્જ અને અપરિગ્રહી રહેવું તેય ડિસ્ચાર્જ. કારણ કે અપરિગ્રહી રહેવાનો જે ભાવ કર્યો હતો, તેથી અપરિગ્રહી આવ્યું. પણ એય ડિસ્ચાર્જ છે, એય છોડી દેવું પડશે. એય ત્યાં મોક્ષે ના આવે કંઈ જોડે. એ તો જે સ્ટેશને એ હેલ્પ કરતું હોય તે સ્ટેશને હેલ્પ કરે. આ સ્ટેશને હેલ્પ કશું કરે નહીં. આ સ્ટેશને તો તારે એનો ઉકેલ લાવવાનો છે. એને સૉલ્વ કરી નાખવાના છે બધાને. પ્રશ્નકર્તા : એ જ્યારે અંદર ચોક્કસપણે નક્કી છે કે આ વસ્તુ મારી નથી, તો કોઈ ખેંચી જાય તોય હું છૂટો જ છુંને આનાથી ? દાદાશ્રી : હા, એવું બધું હોવું જોઈએ તો વાંધો નથી. એ ભરત રાજાને એવું હતું કે આખું રાજ બધું લઈ લે, રાણીઓ ઉઠાવી જાય તોય હસે એવા હતા. કાં તો પછી એ બધું હોવું જ ના જોઈએ. પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી હોવો જોઈએ. અમને એવું છે, બધા પરિગ્રહ હોવા છતાંય સંપૂર્ણ અપરિગ્રહી ! પ્રશ્નકર્તા : એ પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી એટલે વસ્તુ અને પોતે, એનું એવું શું કનેકશન કર્યું ? એ કેવી રીતે છૂટું પાડ્યું ? (પા.૧૨૪)દાદાશ્રી : છૂટું પાડેલું નહીં, અપરિગ્રહવાળો જ ‘હું’. પ્રશ્નકર્તા : એ કઈ રીતે પણ ? કારણ કે અત્યારના સંજોગો બધા એવા છે કે એકેય વસ્તુ ખસેડી ખસે એવી નથી. ભાવનામાં હોય પણ પહેલો રસ્તો આ છે કે એ વસ્તુથી છૂટા થઈ જવું. દાદાશ્રી : ‘આઈ’ વીધાઉટ ‘માય’ ઇઝ ગોડ. બધી ‘માય’ની ફાચર છે. પ્રશ્નકર્તા : એટલે ‘માય’ કાઢી નાખે, તો વસ્તુ તો ત્યાંની ત્યાં ભલે પડી ? દાદાશ્રી : હા, બસ, છેવટે આ દેહને સહજ કરવાનો છે. જે તે ચિતરામણ વધારે કર્યું હોયને, તેને અસહજ વધારે કરેલું હોય. એટલે એને સહજ થતાં વાર લાગે. અમારે ચિતરામણ ના કર્યું હોય, તે ઝટ ઉકેલ (આવી ગયો) ! (પા.૧૨૫)[9] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનુંસહજતા એટલે જ અપ્રયાસ દશાપ્રશ્નકર્તા : પેલું ચરણવિધિમાં છેને, મન-વચન-કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ, તો એ સહજતા કેવી ? દાદાશ્રી : સહજતા એટલે જાડી ભાષામાં કહે તો અપ્રયાસ દશા, કોઈ પણ પ્રયાસ નહીં. આત્માએ કરીને પ્રયાસ નહીં અને દેહે કરીનેય કોઈ પ્રયાસ નહીં. માનસિકેય પ્રયાસ નહીં ને બુદ્ધિનોય પ્રયાસ નહીં. પ્રશ્નકર્તા : એ પછી મન-વચન-કાયાનો સુમેળ તો હોયને ? દાદાશ્રી : અનાયાસ દશા થઈ. બસ, પ્રયાસ નહીં. અને એમાંથી પ્રયાસ કરનારો નીકળી જાય. મન-વચન-કાયા કામ કરનારા છે પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજ દશા અને પ્રયાસ કરનારની હાજરી એ અસહજ. એટલે એ પ્રયાસ કરનારો જવાથી સહજ. પછી જે ક્રિયા થતી હોય તે એ ક્રિયાનો વાંધો નથી, પ્રયાસ કરનારનો વાંધો છે. પ્રશ્નકર્તા : એટલે એને આ પ્રયાસ કરવાની પેલી આંટી જ પડેલી છે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ નથી ? દાદાશ્રી : પ્રયાસની જરૂર, પેલું એનો કરનારો ના હોવો જોઈએ. (પા.૧૨૬)પ્રયાસની જરૂર નહીં, એમ કહીએ તો તો પછી લોકો કામ કરવાનું છોડી દે બધું. છોડી દેવાનો ભાવ કરે. એટલે પ્રયાસની જરૂર. પ્રશ્નકર્તા : પણ હકીકત શું છે અંદરની, એક્ઝેક્ટ ? દાદાશ્રી : એ પ્રયાસ કરનારો જ જતો રહે એટલે બસ થઈ ગયું. પ્રશ્નકર્તા : આ જે મન-વચન-કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો ખરેખર હોય છે ખરો ? દાદાશ્રી : પ્રયાસ કરનારો છે તે માટે જ આ પ્રયાસ કહેવાય છે. એ સહજ નથી કહેવાતું. પ્રયાસ કરનારો જતો રહે એટલે એની એ જ વસ્તુ પછી સહજ કહેવાય. પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયાની જે પ્રક્રિયા પ્રયાસ કરનારો કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બન્ને મિકેનિકલ જ હતુંને ? દાદાશ્રી : વસ્તુ એકની એક જ છે બનવામાં, બનવામાં ચેન્જ નથી. પ્રશ્નકર્તા : એટલે આણે જો પ્રયાસ કર્યો ના હોત તોય એ જ બનત ? દાદાશ્રી : પ્રયાસમાં ડખલ છે, એ ભાંજઘડ છે. પ્રશ્નકર્તા : ડખલનો ભોગવટો પોતાને આવે છે કે ડખલથી મન-વચન-કાયાનો ફેરફાર થાય છે ? દાદાશ્રી : એ ફેરફાર થવાનોય નથી. પ્રયાસ કર્યો માટે અપ્રયાસ ના કહેવાય. પ્રશ્નકર્તા : એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે, તેનાથી મન-વચન-કાયાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ? દાદાશ્રી : કશોય ફેરફાર નહીં ! પ્રશ્નકર્તા : તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે ? (પા.૧૨૭)દાદાશ્રી : એ તો એનો અહંકાર છે ખાલી, ‘હું કરું છું’ ! પ્રશ્નકર્તા : એનાથી આવતા ભવની જવાબદારી ગણાય ? દાદાશ્રી : હા, આવતા ભવની જવાબદારી લે છે. કારણ કે એ રોંગ બિલીફ છે. પ્રશ્નકર્તા : અને એ રોંગ બિલીફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય ? દાદાશ્રી : પછી અપ્રયાસ દશા, સહજ થઈ ગયો. અમે ખાઈએ-પીએ એ બધું સહજ કહેવાય. પ્રશ્નકર્તા : તો રોંગ બિલીફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો, એ રોંગ બિલીફ ગયા પછી શું બને છે એ ? દાદાશ્રી : કશુંય નથી બનતું, ડખો જતો રહે છે. પ્રશ્નકર્તા : પણ જેને રોંગ બિલીફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી ? દાદાશ્રી : એક બાજુ આત્મા ને એક બાજુ આ દેહ, અપ્રયાસ દેહ, મન-વચન-કાયા. એ પછી પુદ્ગલ તો છે જ, પણ તે વચ્ચે ઇગોઇઝમ ભાગ ઊડી ગયો. જેને સ્ટ્રેઈન પડતો હતો એ ચાલ્યો ગયો, થાકતો હતો તે ચાલ્યો ગયો. કંટાળી જતો હતો તે ચાલ્યો ગયો, વો સબ ચલે ગયા. પ્રશ્નકર્તા : તો રહ્યો કોણ ? દાદાશ્રી : કશુંય નહીં, આ સહજ રહ્યું. બીજા કોઈની મહીં ડખલ ના રહી. પ્રશ્નકર્તા : આ દેહની ક્રિયા કરવાની હોય, વાણી છે, પણ એમાં પેલો અહંકારની તો જરૂર પડે છેને ? દાદાશ્રી : કશી જરૂર નહીં. કૉઝિઝ કરનારો જ ચાલ્યો ગયો ત્યાં ! (પા.૧૨૮)ઇફેક્ટ એકલી રહી. પ્રશ્નકર્તા : તો પછી પેલું કહો છોને તમે કે અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે, તો એ કયો અહંકાર પછી ? દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર. પ્રશ્નકર્તા : તો આ ડિસ્ચાર્જ અહંકારની ક્રિયામાં, એના પરિણામમાં શું ફેર હોય ? દાદાશ્રી : સહજ ! પ્રયાસ કરનાર ના હોય, સહજ હોય. પ્રશ્નકર્તા : હા, પણ એ સહજ હોય એમાં, પેલો પ્રયાસ કરનારો અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોયને એમાં ? દાદાશ્રી : એનો વાંધો નહીં. એ તો હોય જ ને ! એ તો એનું બધું મડદાલ. એનું નામ જ સહજ ક્રિયા. ‘જોવા’થી જાય અંતરાયો, નહીં કે ખસેડવાથીપ્રશ્નકર્તા : મોક્ષ મેળવવો એ સહજ છે. એ સહજમાં જે અંતરાયો આવે છે, એને રોકવા એ પુરુષાર્થ છે. દાદાશ્રી : હા. પણ એ પુરુષાર્થ એટલે ‘જોવાનો’ છે ખાલી. અંતરાયો જોવાના છે, બીજું કશું કરવાનું નથી. ખસેડવામાં તો ખસેડનાર જોઈએ પાછો. એટલે સંયોગોને ખસેડવા એ ગુનો છે. જે સંયોગ વિયોગી સ્વભાવના છે, એને ખસેડવું એ ગુનો છે. એટલે આપણે જોયા જ કરવાનું. પ્રશ્નકર્તા : પણ દાદા, આ વાત સત્ય કે મોક્ષ મેળવવો એ પુરુષાર્થમાં કંઈ કરવાપણું નથી, એ બરોબર ? દાદાશ્રી : સહજ છે એ વસ્તુ. પ્રશ્નકર્તા : એટલે એ આપણો સ્વભાવ છે, આત્માનો ? દાદાશ્રી : એ તો આત્માનો સ્વભાવ છે. આ પાણી જેમ મિસીસીપી (પા.૧૨૯)નદીમાંથી નીકળે તે ત્રણ હજાર માઈલ સુધી એમ ને એમ દરિયાને ખોળી જ કાઢે. એનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. પ્રશ્નકર્તા : એ સ્વભાવમાં આવવા માટે પુરુષાર્થ કરવો પડેને ? દાદાશ્રી : વિભાવિક પુરુષાર્થ કરે તો મળે ? ગાંડો માણસ પુરુષાર્થ કરે ને ડાહ્યો થાય એવું બને ખરું ? એટલે ડાહ્યા માણસની તાબે જવાનું છે કે આપ કૃપા કરો, કહીએ. પ્રશ્નકર્તા : દાદા, તમે કહો છોને કે મોક્ષ બે કલાકમાં મળે. પહેલો, જો જ્ઞાનીનો અંતરાય જાય તો ! દાદાશ્રી : હા, પણ એ અંતરાય જાય નહીંને ! અંતરાય કરેલાંને ! પ્રશ્નકર્તા : હા, પણ એ તમે કહ્યું, ‘ખાલી એને (અંતરાયોને) જોવાનું જ કીધું, જ્ઞાતા-દ્રષ્ટા ભાવે.’ દાદાશ્રી : જોયે જ છૂટકો. જે અંતરાય છે એ સંયોગ સ્વરૂપે આવે છે અને એ એની મેળે વિયોગી સ્વભાવના છે. એને જોયે જ છૂટકો થાય. સંયોગો નિકાલી ત્યાં કડાકૂટો શું ?પ્રશ્નકર્તા : પણ દાદા, એમાં તો કેટલાં જન્મો જોઈએ એ છૂટવા માટે ? તો એને માટે આ બધું નિકાલી છે એમ સમજવું ? દાદાશ્રી : નિકાલી જ છે. આ લોકોએ નહીં સમજવાથી જ આ ગરબડ કરી છે. નિકાલી તો સમજી લોને ! જો ગ્રહણીય કરે તો ચોંટી પડે, જો ત્યાગ કરે તો અહંકાર ચોંટી પડે. ત્યાગનારેય અહંકારી જ હોય અને ત્યાગનું ફળ આગળ આવે. આપણા લોકોય કહે છે, ‘ત્યાગે ઇસકુ આગે.’ એ જો તમારે દેવગતિનું સુખ ભોગવવું હોય તો અહીંયાં એક સ્ત્રી છોડ, કહે છે. એટલે આપણે તો ત્યાગ ને ગ્રહણ, બેઉ ના જોઈએ, નિકાલ જોઈએ. સંયોગો બધા વિયોગી સ્વભાવના છે અને સંયોગો આપણી ડખલથી ઊભા થયા છે. આ ડખલ ના કરી હોત તો સંયોગો ઊભા ના થાત. જ્યાં સુધી (પા.૧૩૦)જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી ડખલ કર્યા જ કરતા હતા અને મનમાં ગુમાન લઈને ફરતા હતા, કે હું ભગવાનનો ધર્મ પાળું છું ! જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતિતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર... શ્રીમદ્ રાજચંદ્ર જડ સંબંધ છે અને આત્મા ચૈતન્ય છે, પોતે છે. પોતે સંબંધી અને આ જડ સંબંધ માત્ર છે. આપણને સંયોગનો સંબંધ થયેલો છે. બંધ નથી થયો, સંબંધ થયેલો છે. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવવાળા છે. આપણે કહીએ કે આ વળગ્યું, આ વળગ્યું. મૂઆ, વળગ્યું પણ આ વળગણને છોડાવવા માટે ભૂવાને બોલાવવો પડશે ને આ તો એની મેળે વખત થશે, એટલે છૂટી જશે. આ વળગણ કોઈને વળગ્યું હોયને, તો ભૂવાને બોલાવે ત્યારે ઉતરે. અને આ તને સંયોગો જે વળગ્યા છે, તે વિયોગી સ્વભાવનાં છે. માટે તારે ભૂવાને નહીં બોલાવવો પડે. એક ફેરો જ્ઞાની પુરુષ પાસેથી આત્મા પ્રાપ્ત કરી લે, પછી સંયોગ સંબંધ બધો વિયોગી સ્વભાવવાળો છે. સંયોગો પારકા, સહજતા પોતાનીપ્રશ્નકર્તા : સંયોગમાંથી સહજમાં ગયો એટલે પછી છૂટી ગયું ને પછી સહજમાં જ આવી ગયો ને ? દાદાશ્રી : સહજમાં રહ્યો એટલે સંયોગ છૂટી જાય. પોતે સહજમાં ગયો એટલે સંયોગ છૂટી ગયા. સંયોગમાંથી પોતે સહજમાં જઈ શકે અને સહજમાં ગયા પછી સંયોગ છૂટી જાય (ખરી પડે). પ્રશ્નકર્તા : હવે સંયોગ એ પણ સહજમાં જાય ? દાદાશ્રી : નહીં, સંયોગમાંથી સહજમાં જાય. સંયોગ સહજ થાય નહીં ને ! સહજ વસ્તુ જુદી છે ને સંયોગ વસ્તુ જુદી છે. ફેર, ‘કરવું પડે’ ને ‘વર્તે’ એમાંપ્રશ્નકર્તા : એક વાર સત્સંગમાં આપે કહેલું કે એક સ્ટેજ એવી હોય (પા.૧૩૧)કે ચંદુભાઈ કરે છે અને એમાં જ તન્મયાકાર હોય. બીજી સ્ટેજ એવી હોય કે ચંદુભાઈ જુદા અને પોતે જુદો. એટલે આ કર્તા જુદો અને પોતે જુદો અને ત્રીજી ટોપની સ્ટેજ એવી છે કે ચંદુભાઈ શું કરે છે એને પણ જુએ છે, આત્મા ચંદુભાઈને જુએ છે એ સમજાવો જરા. દાદાશ્રી : શું સમજવાનું છે એમાં ? પ્રશ્નકર્તા : એ સ્ટેજ કયું કહેવાય ? દાદાશ્રી : એવું છે ને, આ જોવાના કાર્યોમાં પડ્યા છે તે એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ. જોવાનું એને કરવું પડે છે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે એટલે એનેય પણ જાણનારો છે ઉપર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે. એ પછી મેનેજર થયો પાછો. એનો ઉપરી પાછો રહ્યો. છેલ્લા ઉપરીને જોવું પડે નહીં, સહજ દેખાયા જ કરે. પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા જોવું પડે છે ‘એ’ કોણ અને ‘એને’ પણ જે જુએ છે તે કોણ ? દાદાશ્રી : ‘એને’ પણ જુએ છે તે ‘મૂળ’ (સ્વરૂપ). આ જોવું પડે છે તે વચલો, ઉપયોગ. એટલે એને પણ જાણનારો છેક છેલ્લી દશામાં. આ અરીસામાં આપણે આમ બેઠા અને અરીસો પેણે મૂક્યો તો આપણે બધા દેખાઈએને તરત ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એને કંઈ જોવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું આત્મામાં ઝળકે, બધું આખું જગત મહીં ઝળકે. પ્રશ્નકર્તા : એ ‘વચલો’ કોણ, દાદા ? દાદાશ્રી : ઉપયોગ. (પા.૧૩૨)પ્રશ્નકર્તા : એ ઉપયોગ પણ કોનો ઉપયોગ ? દાદાશ્રી : એ પેલી ‘પ્રજ્ઞા’નો. પ્રજ્ઞાના ઉપયોગમાં આવી ગયો એટલે બહુ થઈ ગયું. એથી આગળ આપણે બહુ જરૂર નથી, ત્યાં સુધી આપણી કૉલેજ ! દશા, સહજાત્મસ્વરૂપીઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહજાસહજ દેખાય. પ્રશ્નકર્તા : દાદા, એ વખતે સ્વરૂપ સ્થિતિ કહેવાયને, ઉપયોગમાં ઉપયોગ રહે ત્યારે ? દાદાશ્રી : એ તો મોટામાં મોટી સ્વરૂપ સ્થિતિ. સ્વરૂપ સ્થિતિ તો કોના માટે લખેલું છે કે જે અસ્થિર થઈ ગયો હોય તેના માટે. જેની સ્થિતિ ખસી જતી હોય, તેને થોડીવાર રહ્યું એટલો વખત સ્વરૂપ સ્થિતિ રહી, કહેશે. પણ જેને ખસી જતું નથી, તેને સ્વરૂપ સ્થિતિ કેવી ? સ્વરૂપ જ છે ત્યાં આગળ. પ્રશ્નકર્તા : એને તો સહજ સ્થિતિ કહેવાયને ? દાદાશ્રી : સહજ સ્થિતિ જ કહેવાય. સહજ આત્મા કહેવાય, સહજાત્મા. સહજ સ્થિતિય નહીં. ‘કેવળજ્ઞાન’ માટે કંઈ કરવાનું ?જગતના લોક કહે છે, ‘કેવળ જ્ઞાન’ કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે ! કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિ તો ઓળખો. આ તો ‘વ્યવસ્થિત’ શક્તિનું કામ છે. આ કરો, આ કરો, તે કરવા બેઠા ! તેથી તો ભગવાન આમ કરીને બેઠા. પગે આમ પદ્માસનવાળીને, આમ કરીને બેઠા. હે ભગવાન ! આ તમે શું શીખવાડો છો ? ત્યારે કહે, એ જ કર છાનોમાનો. સહજ રીતે જ ચાલી (પા.૧૩૩)રહ્યું છે. ડખોડખલ ના કરીશ કે નથી ચલાવવું એવુંય ના બોલીશ, ચલાવવું છે એવુંય ના બોલીશ. શું કહે છે ? ડખોડખલ કરીશ નહીં. ડખોડખલ નહીં, ત્યાં ‘ખરી પડે’આ વિજ્ઞાન કેવું છે ? એની મેળે ખરી પડશે, કાઢવાનું નથી. કારણ કે જીવતું નથી. આ સંસારની ટેવો છેને, જેને જ્ઞાન નથી મળ્યું તેને એ જીવતી છે અને આની ટેવો મડદાલ છે. એટલે જ્યારે ત્યારે એની મેળે, જેમ ગીલોડી (ગરોળી)ને એની પૂંછડી કપાઈ ગયેલી હોય તોય હાલ્યા કરે, પણ આમ તે કાયમ હાલ્યા કરશે ? ક્યાં સુધી ? એમાં જીવન નથી, એમાં બીજા તત્ત્વો છે, એ તત્ત્વો નીકળવા માંડ્યાં, એટલે પછી બંધ પડશે. એવું અહીં છોડવાનું નથી, બિલકુલ કશું છોડવાનું નથી. એની મેળે છૂટી જાય છે. પ્રશ્નકર્તા : આ ‘ખરી પડે’ જે કહ્યુંને, એ શબ્દ મને બહુ ગમ્યો. એવો વિચાર કરું છું કે કેટલો સહજ ભાવ છે, ‘ખરી પડે’ એમાં ? દાદાશ્રી : અને ‘ખરી પડે’ ત્યાં સુધી તમારે ‘જોયા’ કરવું પડે. પ્રશ્નકર્તા : પ્રયત્નો નહીં કરવાના ? દાદાશ્રી : નહીં, ડખોડખલ જ નહીં. પ્રશ્નકર્તા : એટલે એનો યોગ્ય સમય આવશે ત્યારે ખરી પડશે ? દાદાશ્રી : એની મેળે જ ખરી પડશે. ભલેને, લોક આમનું બોલવું હોય તો આમ બોલે ને તેમનું બોલવું હોય તો તેમ બોલે, પણ આપણે જો ડખો કરીએને, તો બધું ડખલ થઈ જશે. પ્રશ્નકર્તા : પણ દાદા, તમે ઝાડના મૂળિયાંની અંદર પેલી દવા મૂકી આપી છે ને, એટલે પાન-બાન દેખાય પણ બધાં ખરતાં ને ખરતાં રહ્યાંને ! હવે તો ધીરે ધીરે અમારાં બધાં કબાટો (ભરેલો માલ) ખાલી થઈ જશે. દાદાશ્રી : હા, એટલે કબાટ તો બધાં ખાલી જ થઈ જવાનાં ને ! તે આપણને મોક્ષે જવાની ઇચ્છા થઈ એટલે આ સંસારભાવ તૂટ્યો, એની મેળ (પા.૧૩૪)જ તૂટ્યો. આપણે અહીંથી મામાની પોળ જવું છે, એ તરફ ગયા એટલે આપણે ટાવર તરફ નહીં જઈએ, એ નક્કી થઈ ગયું. એટલે આ બાજુ મોક્ષ ભણી વળ્યો એટલે પેલો ત્યાગ જ થઈ ગયો, ભાવત્યાગ જ વર્ત્યા કરે. એટલે એની મેળે ખરી પડવું જોઈએ. ‘ખરી પડવું’ શબ્દ સમજ્યા તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : મૂર્છા ના હોયને એટલે ભરેલો માલ બધો ખરી પડે. એનો કાળ આવે એટલે ખલાસ થઈ જાય ! (પા.૧૩૫)[10] ‘સહજ’ને નિહાળતા, પ્રગટે સહજતાકરવાથી નહીં, જોવાથી થાય સહજએક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ, આત્મા તો સહજ છે, તું હવે આ પુદ્ગલને સહજ કર. હવે ‘સહજ શી રીતે થાય ?’ સહજને જોવાથી સહજ થઈ જાય છે. ‘જ્ઞાની’ને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જાય છે. ત્યારે કહે, ‘કોલેજમાં ના શીખાય ?’ કોલેજમાં ના આવડે. કારણ કે એ પ્રોફેસરોને જ ભાન નથી, ત્યાં શી રીતે આવડે ? અને આ શબ્દરૂપ જ્ઞાન નથી, આ તો સહજ ક્રિયા છે. જેમ બહારવટિયા પાસે છોકરાને મૂક્યો હોય તો એ છ મહિનામાં તો ફર્સ્ટ કલાસ બહારવટિયો થઈ જાય ને વીસ વર્ષ સુધી એની કોલેજમાં ભણવા જાય તો યે ના થાય. એવું આ જ્ઞાની પુરુષની પાસે રહ્યો, તે એની મેળે સહજતા ઉત્પન્ન થઈ જાય છે. અનાદિકાળથી પાર વગરની ચંચળતા ઉત્પન્ન થઈ છે. તે ચંચળતા ધીમે ધીમે ધીમે ઠરતી ઠરતી ઠરતી સહજતા ઉત્પન્ન થઈ જાય છે. મને કોઈ ગાળ ભાંડતો હોય તે વખતે મારી સહજતા જોઈને તમને મનમાં એમ થાય કે ‘ઓહોહો !’ તે તમને તરત આવડી ગયું. જોયું કે આવડી ગયું. પછી તમને ગાળ ભાંડે તોય સહજતા આવડી જાય. નહીં તો લાખ અવતારેય શીખાય નહીં. જ્ઞાની પુરુષ પાસે રહેવાથી બધા જ ગુણો પ્રગટ થયા કરે, એની મેળે, સહજ પ્રગટ થાય. અક્રમ વિજ્ઞાન કહે છે તેય એનો કહેવાનો ભાવાર્થ એટલો જ કે સહજ થતું જાય. (પા.૧૩૬)જ્ઞાનીની અનોખી સાહજિકતાપ્રશ્નકર્તા : જ્ઞાની પાસે પડી રહો એવું જે કીધું એટલે પછી આ જ બધું જોવાનુંને ? દાદાશ્રી : હા, એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી સહજતા ! કેવી નિર્મળ સહજતા છે ! કેટલાં નિર્મળ ભાવ છે ! અને અહંકાર વગરની દશા કેવી હોય, બુદ્ધિ વગરની દશા કેવી હોય, એ બધું જોવાનું મળે. અહંકાર વગરની દશા ને બુદ્ધિ વગરની દશા એ બે દશાઓ તો જોવાની મળે જ નહીં ને ! જ્યાં ને ત્યાં બુદ્ધિશાળીઓ ! તે આમ વાત કરે ને, તોય નાક આમ ચઢેલું હોય ! કશું સહજ ના હોય. ફોટો પાડેને તે ઘડીએ નાક ચઢી જાય ! અને ફોટાવાળા અમને જુએ તો એને ફોટો ના લેવો હોય તોય લઈ લે, કે આ ફોટો પાડવા જેવા (વ્યક્તિ) છે ! એ સહજતા ખોળે. નાકની કડકાઈ દેખે તો ફોટો સહજ ના આવે. એટલે કો’કની જોડે જઈએ ને, કો’કના ટોળામાં, ત્યાંય આપણું મોઢું ચઢેલું ના દેખે એટલે પેલા સમજી જાય કે ના, ધેર ઈઝ સમથીંગ (કંઈક છે ) ! લોકોને જોતાં બહુ સરસ આવડે છે. પોતાનું રાખતા નથી આવડતું. પોતાનું મોઢું વીતરાગ રાખતા નથી આવડતું પણ સામાનું મોઢું વીતરાગ છે તે એ જોતાં બહુ સરસ આવડે છે, બહુ ઝીણવટપૂર્વક. મોઢું ચઢી ગયેલું સારું ના દેખાય, નહીં ? ફોટામાં જુએ તોય ખબર પડે કે આ ચઢી ગયેલું મોઢું છે. તેથી આ ફોટોગ્રાફરો ફોટો લે ને, તે સામો અસહજ થયેલો હોય એનો ફોટો લેતાં એમને ના ફાવે. એ સહજતા જુએ. અને અમારા માટે ખુશ જ. જેમ ફરીએ તેમ એ ખુશ. કારણ કે સહજ હોય. એ બહુ ખુશ થઈ જાય. સહજતા એમને જોઈતી હોય એ સહેજે મળે અને પેણે તો કહેવું પડે, જરા સીધાં બેસજો. અને નહીં તોય ફોટો પડાવતી વખતે આપણાં લોકોમાં અસહજતા હોય અને તે રૂપાળાય ના દેખાય એ ફોટા. સહજ ફોટો રૂપાળો દેખાય. સારો કયો દેખાય ? સહજ. પેલો અહંકાર મહીં ફેલાયેલો હોય. તમે ફોટા લો તો તમે એમ કહો કે તમે હાથ જોડો તો અમે હાથ જોડીએ, બસ. બીજું મારે શું ? કારણ કે અમને એવું મનમાં ના થાય કે આ મારો ફોટો (પા.૧૩૭)લે છે, નહીં તો વિકૃત થઈ જઈએ. અમે સહજમાં જ હોઈએ. બહાર ગમે એટલાં ફોટા લેવા આવે તો ફોટાવાળાય સમજી જાય કે દાદા સહજમાં જ છે. તે તરત જ ચાંપ દબાવે. ફોટો મૂર્તિનો, પોતે અમૂર્તમાંપ્રશ્નકર્તા : ફોટો લેતી વખતે, આપને મહીં શું રહે ? કારણ કે આ તો મારો ફોટો લે છે, પછી આમને આમ અક્કડ રહે, તો આપને અંદરમાં કેવું પરિણામ હોય ? આપને કેવો ઉપયોગ રહે તે વખતે ? દાદાશ્રી : કશું લેવાદેવા નહીં. કશું જ નહીં બન્યું એવું. પેલાને એ ના લાગે, કે મારો ફોટો ખરાબ દેખાય એવું કર્યું, એટલે હું એની સામું જોઉં જરા એટલું જ ને હાથ જરા જોડું. મહેનત નકામી ના જાય ને ! મારે સહજ. અને એ કહેશે, આમ બેસો, ત્યારે એમ બેસું. આમેય કરું. તુંય સહજ થઈશ એટલે તારા ફોટા લેવાશે. સહજ થવું જોઈએ. ફોટોગ્રાફર ખોળતો હોય છે, સહજ કોણ છે, આ બધા સો માણસ બેઠાં હોય એમાં. એ ખોળતો જ હોય. ફોટોગ્રાફરને એ પરીક્ષા સારી હોય. ફોટોગ્રાફર સમજી જાય કે આટલા બધામાં આમનો ફોટો લેવા જેવો છે, હું હમણે તમારી જોડે નીચે બેસું ને પછી ફોટોગ્રાફરને કહીએ કે ખોળી કાઢ કે કોનો ફોટો લેવા જેવો છે ? ત્યારે કહે, આમનો લેવા જેવો. સ્થિરતા જુએ. ફોટોગ્રાફર હંમેશા સ્થિરતા જુએ. કેટલી સ્થિરતા ને સહજતા છે, એ જુએ. સહજતા તમે સમજ્યા ? તમેય છે તે અમથા આમ અક્કડ થઈ જાવ, નહીં થાવ ? પ્રશ્નકર્તા : થઈ જાય. પાછું મને કોઈ જુએ છે કે નહીં, એમ બધે જોયા કરે. દાદાશ્રી : એને જોવામાં વાંધો નથી પણ તે રેગ્યુલર જોતો નથી. એ જોવાનો સહજભાવ તૂટી જાય છે. પ્રશ્નકર્તા : પાછો કહે, મારો ફોટો લે છે. દાદાશ્રી : હા, એટલે જે માણસને ફોટામાં લેતા હોય ત્યારે સહજ થાય (પા.૧૩૮)ને, એના ફોટા બહુ પડે, પુષ્કળ પડે. પ્રશ્નકર્તા : એવો નિયમ છે ? દાદાશ્રી : નિયમ જ ને બધા. બધાં નિયમથી જ ચાલે ને જગત ! પ્રશ્નકર્તા : આ પાછું એવુંય કહે, કે આ મારો ફોટો કેવો સહજ છે ! આ નેચરલ ફોટો છે મારો ! દાદાશ્રી : એક માણસ તો કહે છે, આમ દોઢ ડોલર ફી લેતો’તો, ત્યાં ને ત્યાં તરત ફોટોગ્રાફ આપે, તૈયાર કરીને. તે કહે છે, મારે આમનો ફોટો લેવો છે. લઈને તરત ફોટો આપ્યો ને પૈસા ના લીધા ! જેને દાદાનો ફોટો લેવો હોય એની ગરજે લે કે ! ત્યાર પછી ફોટા સરસ આવ્યા હોય ! હવે તો નીરુબેન હઉ ફોટાગ્રાફર થઈ ગયાં છે ને, કેમેરા-બેમેરા લઈને ! પ્રશ્નકર્તા : ત્યારે તમે કહો છો, ફોટોગ્રાફર થઈ ગયા, એટલે પછી... દાદાશ્રી : એ તો કહું, એ તો બધી રમૂજની વાતો બધી. એ તો રમૂજ ના જોઈએ થોડી ઘણી ? પ્રશ્નકર્તા : જોઈએ. દાદાશ્રી : આ ભઈ જોડે કેટલી રમૂજ કરું છું ! નથી કરતો ? તમને ખબર પડી જાય ને કે આ રમૂજ કરે છે ? ગેલ તો કરવું જ પડે ને ? રમૂજ તો હોય ને ! રમૂજ વગર દુનિયામાં ગમે શી રીતે ? તારી જોડે નથી કરતો ? આમણે દાદાનો ૩૬ કલાકનો વિડિયો કર્યો, ત્યારે એમને ફોટાની કેટલી ઇચ્છા હશે ! ૩૬ કલાકનો વિડિયો એટલે કેટલા કલાક ચાલે ફિલ્મ ? જોઈએ છીએને, આપણે સિનેમા ? એવું બાર દહાડા જોઈએ ત્યારે એ પૂરું થાય ! આખા અમેરિકામાં મારી જોડે ફર્યો, બધે જ વિડિયો લઈને ! ૩૬ કલાકની વિડિયો એટલે બોલતાં-ચાલતાં બધું જ ! કહે છે, રોજ જોયા જ કરીએ છીએ. એ જ જોઈએ છીએ, મારે બીજું શું જોવાનું ? બાર કલાકની બધી આમ સરસ થોડી થોડી લઈને અહીં અમેરિકાથી (પા.૧૩૯)ત્યાં ઈન્ડિયા મોકલવાના છે. બહુ સારું કહેવાય ! લોક જુએને ! આ બધી વાત અમે સહજ સમાધિમાં કરીએ છીએ. અમે સહજ હોઇએ આખો દહાડોય. કારણ કે આ દેહના માલિક અમે ક્ષણવારેય ના હોઇએ, આ વાણીના માલિક નહીં અને આ મનના માલિક નહીં. શરીરનું માલિકીપણું છવ્વીસ વર્ષથી જતું રહ્યું અને છવ્વીસ વર્ષથી સમાધિ જાય નહીં, એક સેકન્ડેય. અમને ધોલો મારે તોય અમારી સમાધિ, અમે આશીર્વાદ આપીએ એને. સહજ સમાધિ જોવી હોય તો અમારી પાસે આ પ્રત્યક્ષ જોવી ! નૉ લૉ લૉ, ત્યાં સહજતાપ્રશ્નકર્તા : જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ? દાદાશ્રી : ‘પોતે’ જો ખસી જાય તો ‘અંતઃકરણ’થી ‘આત્મા’ જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા કરે. છૂટું પાડ્યા પછી જ્ઞાનીનું અંતઃકરણ પોતે જ સ્વભાવિક કામ કર્યા કરે. કારણ કે ડખોડખલ બંધ થઈ ગઈ ને ! એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્યો અંતઃકરણથી ચાલ્યા કરે, એનું નામ જ સહજ ! મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રહે, તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે, વીતરાગ જ રહે. અમારું સહજ હોય બધું. એટલે સહજતા પર જવાનું છે. આ સહજતાનો માર્ગ ‘નો લૉ લૉ’, સહજતા પર લઈ જવા માટેનો છે. લૉ (કાયદો) હોય તો સહજતા કેમ થાય ? અત્યારે હું અહીં બેઠો છું, એવું બેસે નહીં. આવું કશું આવ્યું હોયને તો અડે નહીં. એ બધી વાત એ સાહજિકતા નહીં. સાહજિક એટલે જેમ અનુકૂળ આવે તેમ રહે. બીજો વિચાર જ ના આવે કે આ લોકો મને શું કહેશે કે એવું તેવું બધું ના હોય. સહજતા, જ્ઞાનીનીપ્રશ્નકર્તા : દાદા બધાને જે પ્રસાદી આપે છે ને, બૂટની એ.. (પા.૧૪૦)દાદાશ્રી : એ બધું સહજ ભાવે. સહજ ભાવ એટલે ‘હું મારું છું’ એ ભાન ના હોય, ‘હું મારું છું’ એ જ્ઞાન ના હોય ને ‘હું મારું છું’ એ શ્રદ્ધા ના હોય, એનું નામ સહજ ભાવ. અને સહજ ભાવથી અમે મારીએ, એટલે કોઈને દુઃખ લાગે નહીં ! પ્રશ્નકર્તા : સહજ ભાવે ધોલ મારવી એ જ્ઞાની સિવાય બીજો કોઈ મારી શકે ખરો ? દાદાશ્રી : હા, સહજ ભાવે હોય તો મારી શકે. પ્રશ્નકર્તા : જો જ્ઞાની સિવાય કોઈ બીજા કોઈ ધોલ મારે તો સામાને દુઃખ થયા વગર રહે જ નહીં. દાદાશ્રી : દુઃખ થાય તો તો પછી એ સહજતા નથી. કંઈકેય બગાડ છે એમાં, નહીં તો દુઃખ ના થવું જોઈએ. આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિક. એ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ને દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે ‘હા’ કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ. અમારે એવું નહીં પણ સહજભાવ. અમે અમેરિકા ગયેલા, તે પોટલાની પેઠ ગયેલા ને પોટલાની પેઠ આવેલા. આ અમેરિકામાં બધે ગયેલા, ત્યાંય એવું ને બધે એવું. અમારું કશું નહીં. ‘વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત !’ એના જેવું. પોતાપણું નહીં ત્યાં નિરંતર સહજઅમારી આ સાહજિકતા કહેવાય. સાહજિકતામાં બધો વાંધો નહીં. ડખલ જ નહીં ને કોઈ જાતની. તમે આમ કહો તો આમ ને તેમ કહો તો તેમ. પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ? અમને તો ‘ગાડીમાં જવાનું છે’ કહે તો તેમ. એ પાછાં કાલે કહેશે કે ‘આમ જવાનું છે’ તો તેમ. ‘ના’ એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત (પા.૧૪૧)ના હોય, એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું. અમે આમ દેખાઈએ ભોળા, પણ બહુ પાકાં હોઈએ. બાળક જેવા દેખાઈએ, પણ પાકાં હોઈએ. કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો ‘પ્રોગ્રેસ’ ક્યાં છોડીએ ? અમારે સાહજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર નહીં જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહે. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે ઉપયોગમાં રહેવાય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારેય કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ, ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે ! જ્ઞાનીનો સહજ શુભ વ્યવહારપ્રશ્નકર્તા : જ્ઞાનીનો વ્યવહાર સહજ હોય પણ પરિણામે બધો વ્યવહાર શુભ જ હોય ? દાદાશ્રી : શુભ વ્યવહાર તો અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે. કારણ કે જ્ઞાનીને શુભ વ્યવહાર કરવાનો હોતો નથી, થઈ જાય એની મેળે અને પેલો કરે છે એ. અહંકાર ખરોને એટલે શુભ વ્યવહાર કરે. એટલે તમે છે તે એમને કહો કે તમે અમને નુકસાન કરો છો. મારે તમારી જોડે કામ નથી કરવું, તો પેલો ભઈ શું કહે ? નુકસાન થયું હોય તે ભૂલી જાવ, પણ હવે નવેસરથી આપણું સારું કામ કરોને ! એટલે આપણે અશુભ કર્યું, પણ પેલો શુભ કરે છે. જ્યાં ચીઢાવાનું ત્યાં ચીઢાતો નથી ને ઊલટું આપણને વાળી લે છે. હમણાં અત્યાર સુધી જે થયું એ ભૂલી જાવ અને નવેસર જાણે કશું થયું ના હોય, કશું ગુનો ના કર્યો હોય, આવું ભૂલાડી દે ને ? તો ગાડી આગળ ચાલે, નહીં તો (પા.૧૪૨)ગાડી ઊભી રહે ડિરેલ થઈને. ડિરેલમેન્ટ થયેલા તમે જોયેલા બધા ? એટલે શુભ વ્યવહાર અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે છે. જ્ઞાનીને સહજભાવે થાય છે, અજ્ઞાનીને કરવું પડે છે. જ્ઞાનીની વિલક્ષણતાજ્ઞાની પુરુષ કોનું નામ કે જેને ત્યાગ અગર અત્યાગ સંભવે નહીં, સહજ ભાવે હોય. એ રાગ-દ્વેષ ના કરે. ફક્ત એમનામાં વિશેષ વિલક્ષણતા શું હોય કે રાગ-દ્વેષ ના હોય. એટલી જ વિલક્ષણતા હોય, બીજી કોઈ વિલક્ષણતા ના હોય ! યોગી ને જ્ઞાનીમાં ફેરપ્રશ્નકર્તા : યોગીઓ પણ જ્ઞાની જેવા સહજ હોય ? દાદાશ્રી : એ યોગી છે પણ જ્ઞાની નથીને ! જ્ઞાનીને આવું તેવું હોય નહીંને ! જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીનાં કપડાં પહેરાવો તો સ્ત્રીનાં કપડાંય પહેરે અને નાગા કરી નાખો તો નાગા ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય. પ્રશ્નકર્તા : એટલે યોગીમાં અહંકાર હોય ? દાદાશ્રી : અહંકાર વગર તો આ ભૂમિ પર સૂઈ રહે, એવું બધું હોય જ નહીંને ! સહજ વસ્તુ શું છે કે ભૂમિ આવી તો ભૂમિ ઉપર, ગોદડું આવ્યું તો ગોદડા ઉપર. તમે કહો કે, ના દાદા, આ ત્રણ ગોદડામાં તમે સૂઈ જાવ તો અમે ના ન પાડીએ. આ સાપેક્ષ વસ્તુ છે કે મોક્ષે જતાં જતાં આવાં સ્ટેશનો આવે, તેથી કંઈ કાઢી નાખવા જેવું નથી. કારણ કે મૂળ સ્ટેશનને જાણીને આ કાઢી નાખવા જેવું નથી. આ ખોટું નથી પણ એની આગળ તો ઘણું જવાનું છે. આ કંઈ છેલ્લું સ્ટેશન નથી. જેમ કોઇ માને કે સુરત એ બોમ્બે સેન્ટ્રલ છે, એમ માનીને ત્યાં સુરત ઊભો રહીને વાત કરે, એવી આ વાત છે. જ્ઞાનીના જ્ઞાનથી છૂટકારોપ્રશ્નકર્તા : યોગીઓને આ બધાં ચક્રો સિદ્ધ થઈ જાય, પછી ચિત્ત બહાર (પા.૧૪૩)ભટકવા જાય ખરું ? દાદાશ્રી : ચિત્ત ભટકતું ક્યારે અટકે ? જો જ્ઞાની પાસેથી જ્ઞાન લઈને જ્ઞાનીની આજ્ઞા પાળે તો ચિત્ત ભટકતું અટકે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે જ્યાં સુધી એ જ્ઞાની પુરુષની પાસે ના આવે ત્યાં સુધી એ ચિત્તવૃત્તિ કોઈ દહાડો પાછી જ ના આવે ? દાદાશ્રી : ‘જ્ઞાની’ ના મળે ત્યાં સુધી કશું વળે નહીં. આ બધી ભાંગફોડ કરેલી નકામી છે. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ ના મળે ત્યાં સુધી ભૂખ્યા બેસી રહેવાય ? કંટ્રોલના ઘઉં મળે તો એ ખાવાના. જે ગુરુ મળ્યો તે ગુરુની પાસે બેસવાનું. કંઈ ભૂખ્યું બેસી રહેવાય નહીં. બાકી જ્ઞાની મળશે તો છુટકારો છે, બીજે ગમે ત્યાં જશે પણ છુટકારાનો રસ્તો નથી. પ્રશ્નકર્તા : પતંજલિએ યોગની વ્યાખ્યામાં કીધું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. અને આપ એમ કહો છો કે એની મેળે પાછી આવે. પેલામાં પ્રયત્ન છે અને આમાં પ્રયત્ન નથી. દાદાશ્રી : હા, પેલામાં તો નિરોધનો પ્રયત્ન કરવાનો અને આ તો સહજ આવ્યા કરે, પાછી આવે. પહેલાં ચિત્તવૃત્તિઓ જે બહાર ભટક ભટક કરતી હતી, બધી પાછી આવે એ. જાય ખરી પણ ગયેલી પાછી વળી જાય. એવી નથી વળતી ? આપણે હાંકવા ના જવું પડે. અને પહેલાં તો હાંકવા જઈએ તોય પાછી ના વળે. અહંકાર રહિત જ્ઞાનીપ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને દુઃખનો અનુભવ થાય ? દાદાશ્રી : જ્ઞાની હોમ ડિપાર્ટમેન્ટ (આત્મા)માં જ રહેતા હોય એટલે દુઃખનો અનુભવ ના થાય. મોક્ષ સ્વરૂપ જ હોય. એ ફોરેન (અનાત્મા)માં પેસતા જ ના હોય. ફોરેન જોડે વ્યવહાર જ ના હોય. જેનો સચળ વ્યવહાર બંધ થઇ ગયો છે. અને સચળ છે તે, છતાંય સચળ સાહજિક ચાલ્યા કરે છે. સાહજિક જેની અવસ્થા છે બધી. ખાવું, પીવું, બેસવું, ઊઠવું બધું સહજ છે. જેમાં (પા.૧૪૪)અહંકારની જરૂર ના પડે એવું સહજ છે. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ પણ શરીરની વેદના થઈ હોય તો બૂમો પાડે ? દાદાશ્રી : જ્ઞાની પુરુષ બૂમ પાડે નહીં, શરીર બૂમ પાડે અને શરીર બૂમ ના પાડે તો જ્ઞાની ન હોય. બીજાં લોકો જાણી જાય તેથી અજ્ઞાની અહંકારે કરીને દબાવે. પ્રશ્નકર્તા : એના અહંકારથી દબાવે ? દાદાશ્રી : અહંકારથી બધું બંધ થઈ જાય. અહંકાર તો બહુ કામ કરે. અહંકાર જતો રહેલો એ જ્ઞાની. આમને (નીરુબેનને) પૂછો તો ખરા કે ઇન્જેક્શન આપતી વખતે અમને શું થાય છે ? ટાઢું કરવું પડે, ટાઢું. અહંકાર જતો રહેલો તેથી. નહીં તો મારો અહંકાર હતોને ત્યારે છે તે એક દીવાસળી સળગાવી ને મારો અંગૂઠો આમ ઉપર મૂકેલો. મેં કહ્યું, ‘અહીં ધર.’ તે બે દીવાસળી સળગતી રહી ત્યાં સુધી રહેવા દીધું હતું. અહંકાર શું ના કરે ? અહંકાર બધું જ કરી શકે અને આ સહજતા ના કરી શકે. વેદનામાં દેહ સહજ સ્વભાવજે પરપરિણામો છે કે જે ડિસ્ચાર્જરૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની જરૂર છે. બીજો ઉપાય જ નથી. એ તો મહાવીર ભગવાનને પેલાં બરુ માર્યાં ને ! તે ખાલી વીતરાગતા જ રાખવાની જરૂર છે અને બરુ ખેંચી કાઢ્યું પેલાએ, તે ઘડીએ વીતરાગતા જ. ભલે પછી દેહનું ગમે તે થયું, દેહે બૂમ પાડી હશે, તેને લોકોએ બધું ઊંધું માન્યું. પણ જ્ઞાનીનો દેહ તો હંમેશાંય બૂમ પાડે, રડે, બધું જ કરે. જ્ઞાનીનો દેહ જો આમ સ્થિર થઈ જતો હોય, તો તે જ્ઞાની નથી. પ્રશ્નકર્તા : બધાં લોકો તો એવું જ માને છે કે જ્ઞાનીને જરા આમ કહે તો હાલે નહીં, ટસમસ ના થાય. દાદાશ્રી : લોકોને લૌકિક જ્ઞાન છે. લૌકિકની બહાર જગત નીકળ્યું નથી. આમ બેસે અને બળી મરતો હોય, તો લોક એને જ્ઞાની કહેશે. પણ જ્ઞાની તો ખબર પડી જાય કે આ જ્ઞાની છે, હાલી જાય આમ. આ બધું હાલી જાય (પા.૧૪૫)અને અજ્ઞાની ના હલે. કારણ કે અજ્ઞાની નક્કી કરે કે મારે હાલવું જ નથી. જ્ઞાનીને અહંકાર ના હોય ને એ સહજ હોય. સહજ એનું નામ કે જેવો શરીરનો સ્વભાવ છે ને, તે ઊંચું-નીચું બધું થયા કરે ! શરીર ઊંચું-નીચું થાય એ સહજ અને આત્માના પરપરિણામ નહીં, એ સહજ. સહજ આત્મા એટલે સ્વપરિણામ અને શરીર ઊંચું-નીચું થાય, એ એના સ્વભાવમાં જ કૂદાકૂદ કરે આમ. આમ દીવાસળી સળગતી હોયને, તે નાખી પછી નીચેથી છેડો ઊંચો થઈ જાય, એ શું ? એ સહજ પરિણામ છે. દેહના બધા જ પરિણામ બદલાય. અજ્ઞાનીને ના બદલાય. અજ્ઞાની આમ સ્થિર થયો, તેવો ને તેવો. અહંકાર છે ને ! આને અહંકાર નહીં, એટલે આંખો રડે, બધું જ કરે. પ્રશ્નકર્તા : તે વખતે એ એની પ્રકૃતિ રડે ત્યારે એ અંદર પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય ? દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : એ પ્રકૃતિને કંઈ કંટ્રોલ કરતાં નથી ? દાદાશ્રી : પ્રકૃતિ, પ્રકૃતિના ભાવમાં જ હોય છે. એને કંટ્રોલ કરવાની તમારે જરૂરત નથી. તમે સહજ ભાવમાં આવ્યા તો આ સહજ ભાવમાં જ છે. અહીં આગળ છે ને, આરસના પથ્થરા ઉપર રહીને જવાનું હોયને મારે બૂટ વગર, તે બૂમાબૂમ કરું, એય દઝાયો દઝાયો દઝાયો તો એ જ્ઞાની. નહીં તો આમ દબાવી દે, બોલે નહીં તો જાણવું કે અજ્ઞાની મૂઓ છે. હજુ ચોક્કસ કરે, ચોક્કસ રાખે. સહજ એટલે શું ? જેમ છે તેમ કહી દે. જેને કેવળજ્ઞાન ઉપજ્યું હોય ને, તેનો દેહ સહજ હોય. દોડવાનાં ટાઈમે દોડે, રડવાનાં ટાઈમે રડે, હસવાનાં ટાઈમે હસે. ત્યારે કહે છે, ભગવાન મહાવીરના કાનમાંથી ખીલાં કાઢ્યાં તો કેમ રડી પડ્યાં ? અલ્યા મૂઆ, એ રડી પડ્યાં, તેમાં તારું શું જાય છે ? એ તો રડે જ. એ તો તીર્થંકર છે. એ કંઈ અહંકારી ના હોય, કે આંખ્યો આમ એ રાખે (પા.૧૪૬)ને આમતેમ કરે. અને અહંકારી હોય તો કઠણ કરી નાખે. મહાવીર ભગવાન બિલકુલ ભાન વગરના હતા નહીં. તેમને જ્યારે ખીલા ખેંચવામાં આવ્યા ત્યારે રડ્યા’તા હઉ. હસે હઉ, બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની રડે હઉ, હસે હઉ, બધી ક્રિયા સાહજિક હોય. (ભગવાન મહાવીરના કાનમાં) બરુ મારતી વખતે કરુણાનાં આંસું હતાં અને કાઢતી વખતે વેદનાનાં આંસું હતા. અને તે આંસું આત્માને હોય નહીં. આ દેહ આંસુંવાળો હતો. મેં કહ્યું, જો આંસું ના આવે તો આપણે સમજવાનું કે મેન્ટલ થઈ ગયો છે ને કાં તો અહંકારી મૂઓ છે, ગાંડો છે. બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની હોય, એનાં શરીરમાં બધી સાહજિક ક્રિયા હોય ! હવે આ બધી વાત લૌકિક જ્ઞાનથી બહુ છેટી છે. એટલે જલદી બેસે નહીં ને ! ફીટ ના થાય ને આ વાત ! અલૌકિક વાત છે આ. સહજ આત્મા એ સ્વપરિણામીતેથી કૃપાળુદેવે કહ્યુંને કે જ્ઞાની પુરુષને સનેપાત થાય, લોકોને આવડી આવડી ગાળો દેતા હોય એ તોય તું બીજું જોઈશ નહીં. આ બાહ્ય લક્ષણોથી જોઈશ નહીં. એ સંયોગાધીન છે. તું અસંયોગીને જો. એના એ જ છે એ. કૃપાળુદેવે ઘણી ખરી બાબતમાં ચેતવ્યા છે. પ્રશ્નકર્તા : બહુ ઝીણી વાત છે, મહાવીરને ખીલા ખોડ્યા અને જો બૂમ ન પાડી તો અહંકાર છે. દાદાશ્રી : હંઅ. અને ભગવાનને તો આ બરુ કાઢ્યું તેની સાથે ઓ.. ઓ.. કરીને બૂમ પાડી ત્યારે સાચા પુરુષોએ જાણ્યા કે ખરા ભગવાન તો આ જ છે. સહજમાં છે, સાહજિક છે અને અહંકારી સાહજિકતામાં ન રહે. પ્રશ્નકર્તા : એને દુઃખ થતું હોય તો પણ દુઃખની લાગણી થવા ન દે, ખાસ દેખાવા ન દે. દાદાશ્રી : એ અહંકાર છેને ! અહંકાર શું ન કરે ત્યાં ? અહંકાર એ (પા.૧૪૭)બહુ શક્તિવાળો છે. પ્રગટ ના થવા દે કે મારે દુઃખ હતું. એવું મહાવીરને નહીં, એ તો સહજ સ્વભાવમાં. એમના મનમાં એમ ના થાય કે આ હું જો હમણે રડીશ તો આ લોકોને આપણું જ્ઞાન ખોટું લાગશે. ભલે ખોટું લાગે, તે સહજતામાં હોય. શરીર ઊંચું-નીચું થાય, કોઈ દઝાડે તો હાલી જાય એ બધો દેહનો સહજ સ્વભાવ. અને આત્મા પરપરિણામમાં નહીં, એ સહજ આત્મા. સહજ આત્મા એટલે સ્વપરિણામ. વેદનામાં સ્થિર તે અહંકારીપ્રશ્નકર્તા : એવું કહેવાય છે કે ગજસુકુમારને માથે મોક્ષની પાઘડી બાંધેલી, તો તે વખતે ગજસુકુમાર આત્માની રમણતામાં હતા, એટલે એમને ઉપર પેલી પાઘડીની ખબર ના રહી. દાદાશ્રી : પાઘડીની ખબર ના રહી હોત તો મોક્ષ ના થાત. તે પાઘડીની ખબર રહી. માથું બળ્યા કરે છે તે જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે ‘હું શુદ્ધાત્મા છું, આ જુદું છે’ એ જોયું પણ એમને જે સમતા રહી એ જ મોક્ષ છે. મહીં બળતરા થાય, બધી ખબર પડે. ના ખબર પડે એ તો બેભાનપણું છે. કેટલાક લોકો એવા હોય છે કે આમ કરીને બળી મરે છે ! તે લોકો આવીને મને કહે છે કે એ જરાય હલ્યા નથી. મેં કહ્યું, અહંકારનો કાંકરો છે. જ્ઞાની પુરુષ તો હાથ બળતો હોય તો રડે-બડે બધુંય. જો રડે નહીં તો જ્ઞાની જ નહોય. એમને સહજભાવ હોય. આ તો અહંકારનો કાંકરો. કાંકરો આમ નાખો તોય કશું ના થાય. તે કોઈને ખબર નહીં પડવા દે આ લોકો. ના ચાલે આ બધું. આવો ફોગટનો ઈલાજ નહીં ચાલે. આ દાદો આવ્યો છે. હા, અત્યાર સુધી ચાલ્યું. આ જેમ છે તેમ જ કહેવું છે. અત્યાર સુધી તો ખોટું નાણું કઢાવ્યું હોય એ જ ચાલે. પણ હવે અહીં નહીં ચાલે. જોવાનું માત્ર એક પુદ્ગલ જપ્રશ્નકર્તા : દાદાએ કહ્યું છે, ‘તારી જ ચોપડી વાંચ્યા કર, બીજી ચોપડી (પા.૧૪૮)વાંચવા જેવી નથી. આ પોતાની જે પુદ્ગલ ચોપડી છે, આ મન-વચન-કાયાની એને જ વાંચ, બીજી વાંચવા જેવી નથી.’ દાદાશ્રી : આ વાંચવું સહેલું નથી, એ ‘વીર’નું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી. અઘરું હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ, પણ મહાવીર ભગવાન જેવું ન રહેવાય. એ તો ‘વીર’ રહી શકે ! અમને તો ચાર અંશેય ખૂટતા ! એટલુંય ના ચાલે ને ત્યાં આગળ ! પણ દ્રષ્ટિ ત્યાંની ત્યાં જ રહેવાની. તીર્થંકર ભગવાન પોતાના જ્ઞાનમાં જ નિરંતર રહે. જ્ઞાનમય જ પરિણામ હતાં. જ્ઞાનમાં કેવું રહેતા હશે ? જે કેવળજ્ઞાનની સત્તા પર બેઠેલા પુરુષ, એમને એવું કયું જ્ઞાન બાકી છે કે તેમાં રહેવા જેવું હોય ? ત્યારે કહે, પોતાના એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખીને જોયા જ કરતા હોય. ભગવાન મહાવીર જોયા જ કરતા હોય કે શું કરે છે, શું નહીં ! દેવોએ ઉપદ્રવ કર્યો માંકણનો, તે આમ પાસાં ફેરવે ને આમ પાસાં ફેરવે. એને એ પોતે જુએ. ‘મહાવીર’ આમ પાસાં ફેરવે, શરીરનો સ્વભાવ છે. (‘મહાવીર’ હો કે ગમે તે હો) ફક્ત અહંકારી લોકો ચાહે સો કરે. માંકણ તો શું પણ બાળે તો એ હાલે નહીં. કારણ કે આખી આત્મશક્તિ એમાં જ છે. હા, જે થવું હોય તે થાય, પણ હાલવું જ નથી એવું નક્કી કર્યું છે. પણ જુઓ, આત્મશક્તિ કેટલી ! અને આ તો સહજભાવી, કેવળજ્ઞાનીઓ ને બધા જ્ઞાનીઓ સહજભાવી. રડે હઉ, આંખમાંથી પાણી નીકળે, બૂમ પાડે. માંકણ કરડે ને, તો પાસું ફેરવે. આમ ફેરવે ને તેમ ફેરવે. બધું જુએ. પહેલાં કર્મ ખપાવવામાં ગયું. પછી જોવામાં ગયું, નિરંતર જોયું. એક જ પુદ્ગલમાં દ્રષ્ટિ રાખે. બધા જ પુદ્ગલનું જે છે એ, એક પુદ્ગલમાં છે. પોતાના પુદ્ગલનું જ જોવાનું છે કે જે વિલય થઈ જાય ! ‘જ્ઞાન’ આપવું એ પુરુષાર્થપ્રશ્નકર્તા : જ્ઞાની અને તીર્થંકરના પુરુષાર્થ વચ્ચે શું ફરક હોય ? દાદાશ્રી : પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી. પછી સહજભાવ તદ્દન. (પા.૧૪૯)અને પુરુષાર્થ શું છે ? જ્ઞાન હોવા છતાં અસહજ ! પ્રશ્નકર્તા : જ્ઞાન હોવા છતાં અસહજ ? દાદાશ્રી : અસહજ. પ્રશ્નકર્તા : એ જ્ઞાની પુરુષને એનો બંધ પડે ? એ બંધ ભોગવવો પડે ? દાદાશ્રી : હા, સામાના કલ્યાણ માટે. એનું ફળ તો આવે જ ને. પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. થોડું બાકી રહ્યું હોય જે ચાર ડિગ્રી, તે પછી બે ડિગ્રી એ ખસેડે. બીજી એક ખસેડે. એટલે આ બધું ‘જ્ઞાન આપવાનું’ એ તો પુરુષાર્થ છે. એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે અમારો ઘણો ખરો પુરુષાર્થ હોય. (પા.૧૫૦)[11] વિજ્ઞાનથી પૂર્ણતાને પંથેપ્રગટે આત્મઐશ્વર્ય, સહજપણામાંથીસહજ એટલે શું ? પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એના જેવું. પાણી પાછું આમ ચાલ્યું જાય તો એમ ચાલ્યું જાય, પોતાપણું નહીં. પોતે પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એવું. એક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. જગતમાં કોઈ સહજ થઈ શકે નહીંને ! એક મિનિટ પણ ના થઈ શકે. સહજ તો આ અક્રમ વિજ્ઞાનથી તમે થયા છો ! નહીં તો આ વકીલાત કરતાં કરતાં સહજ થવાતું હશે ? વકીલ તે સહજ થતા હશે ? પાછા કેસ લઈને બેસેને ? પણ જો સહજ થવાયું ને ! એય અજાયબી છેને ! આ મોટામાં મોટા ચમત્કાર કહેવાય. છતાંય આપણે કહીએ કે ચમત્કાર જેવી વસ્તુ નથી. સમજણ નહીં પડવાથી લોકો કહે કે ચમત્કાર છે. બાકી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધા ! અત્યારે તો આ વિજ્ઞાન જે તમને આપ્યું છે, તે તમને હવે નિરંતર સહજ જ કરી રહ્યું છે. અને સહજ થઈ ગયું એટલે મારા જેવા થઈ ગયા. મારા જેવા થઈ ગયા એટલે બ્રહ્માંડના ઉપરી કહેવાય. દાદા ભગવાનને બ્રહ્માંડના ઉપરી કહેવાય. એનું શું કારણ કે આ દેહના માલિક નહીં. એટલે આ દેહનો માલિક કોણ ? ત્યારે કહે કે આ પબ્લિક ટ્રસ્ટ છે. જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે અને પેલું (પા.૧૫૧)(અસહજતા) ઓછું થતું જશે. અને મૂળ સરવાળે શું ? છેલ્લું સ્ટેશન શું ? ત્યારે કહે, વ્યવહાર આત્મા સહજ સ્થિતિમાં અને દેહ પણ સહજ સ્થિતિમાં, એ જ છેલ્લું સ્ટેશન. બન્ને પોતપોતાના સહજ સ્વભાવમાં. હવે જો નિશ્ચય આત્મા છે એ સહજ છે, તો વ્યવહારને સહજ કરો એટલે આપણે બે એક થઈ ગયા. પછી કાયમના પરમાત્મા થયા. પ્રશ્નકર્તા : એ સહજતાની કલ્પના કરવી મુશ્કેલ છે. દાદાશ્રી : હા, એ કલ્પના, કલ્પના હોય નહીંને ! કલ્પનામાં એ આવે નહીંને ! કલ્પનાનું ઝાળું એનું સરકમફરન્સ (પરિઘ) એરિયા આટલું નાનું હોય, પેલો તો બહુ મોટો એરિયા. પ્રશ્નકર્તા : દાદા, આપે બધાને થોડું થોડું, દરેકની શક્તિ પ્રમાણે આત્માનું ઐશ્વર્ય બતાવી દીધું. દાદાશ્રી : કેવડું મોટું ઐશ્વર્ય બતાવ્યું ! જુઓને, મોઢા પર કેવો આનંદ છે, નહીં તો દિવેલ ચોપડેલું હોય ! સહજ થયેલાનું એક જ વાક્ય બહુ હિતકારી હોય લોકોને ! સહજ થયેલો જ નહીં ને ! સહજતાનો ઉપાય આપણે ત્યાં છે આ. હવે જેટલો ડાહ્યો થાય, પાંસરો થાય એટલો ખરો. પાંસરો થઈ ગયો કે સહજ થઈ ગયો. સહજાત્મસ્વરૂપી ‘આ’ જ્ઞાનીઆત્મા તો સહજ જ છે, સ્વભાવથી જ સહજ છે, દેહને સહજ કરવાનો છે. એટલે એનાં પરિણામમાં ડખો નહીં કરવો. એની જે ઈફેક્ટ હોય તેમાં કોઈપણ જાતનો ડખો નહીં કરવો, એનું નામ સહજ કહેવાય. પરિણામ પ્રમાણે જ ફર્યા કરે. ડખો કરવો એ ભ્રાંતિ. ડખો કરનારો માણસ મનમાં એમ માને છે કે ‘હું કંઈક કરું છું.’ ‘હું કંઈક કરું છું’ એ ભ્રાંતિ. ‘આ મારાથી થાય ને આ મારાથી ના થાય, આ અમારે ત્યાગ કરવાનું છે’, ત્યાં સુધી બધું અધૂરું. ત્યાગ કરનારો અહંકારી હોય. ‘આ અમારાથી ના થાય’ એ કહેનારો અહંકારી, ‘આ અમારાથી થાય’ એ કહેનારો પણ અહંકારી. (પા.૧૫૨)આ બધું અહંકાર જ છે. વ્યવહારમાં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય, ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી. એટલે સહજાત્મ સ્વરૂપ વ્યવહારમાં, એટલે કોઈ કોઈને ડખલ નહીં સામસામી. આમ થાય કે આમ ના થાય એ ડખલ નહીં. કોઈ કોઈની મહીં ડખલ જ નહીં. પોતપોતાના કાર્ય કર્યે જાય. કર્તા પુરુષ જે કરે, એને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા જ કરે. બંનેય પોતપોતાના કાર્યોમાં રહે. કૃપાળુદેવે કહે છે કે, ‘સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.’ તે જ વાત થઈ આપણે મહાત્માઓને. ભાન તો તમને થઈ ગયું, લક્ષ બેઠું. જે થયું તેમાં ડખો ના કરો, તો તે સહજ સ્વરૂપની સ્થિતિ છે. અમારી સહજ સ્વરૂપે થઈ ગઈ છે અને તમારે સહજ સ્વરૂપ થવાનું છે. પણ તમારે પેલું પુદ્ગલ નડેને, તે પુદ્ગલને ખપાવવાં પડશે. વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ હોય, જૈનને જૈન પુદ્ગલ હોય. એ બધાં ખપાવવાં પડશે. એ મારી પાસે સમજી લેશો એટલે ખપી જશે. સહજ રૂપે સ્થિતિ થવી એટલે પુદ્ગલ સારું-ખોટું તમારે એ જોવાનું નહીં. એ સારું-ખોટું ગણવા ક્યાં જાવ છો ? પૂરણ થયેલું છે એ ગલન થાય છે. તમારે તો જાણવાની જ જરૂર છે. અજાયબ કલ્યાણકારી ‘આ’ વિજ્ઞાન !એટલે આ પૂર્ણ પ્રગટ તમારું થયું છે, એટલે બધી જ ક્રિયા થઈ શકે એમ છે. સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા, બંને પોતપોતાની ક્રિયામાં રહે, સંપૂર્ણ વીતરાગતામાં રહીને ! એવું આ અક્રમ વિજ્ઞાન છે ! જો અજાયબી, કેવી અજાયબી ! આખા દસ લાખ વર્ષમાં આ મોટામાં મોટી અજાયબી છે ! ઘણાં લોકોનું કલ્યાણ કરી નાખ્યું ! દાદાશ્રીના આપ્તવચનોજ્ઞાનીની આજ્ઞા સહજ હોય. પોતાને હેલ્પફૂલ થાય, મદદ કરે ને રક્ષા પણ કરે. અજ્ઞાનને ભણવાનું ના હોય, અજ્ઞાન તો સહજભાવે આવડે જ - જ્ઞાનને ભણવાનું. આ સ્ત્રીઓ બોલે છે તે સહજ પ્રકૃતિ ને પુરુષો ગોઠવીને બોલે. સહજ એટલે મૂળ સ્વભાવ. કોઈનેય અડચણ ના થાય તે સહજ પ્રકૃતિ અને વિકૃતિ એટલે કે વિકૃત પ્રકૃતિ. એ તો સ્ત્રીઓ જ્યારે વીફરે ને આડેધડ બોલે તે વિકૃત પ્રકૃતિ. સ્ત્રીઓમાં અજ્ઞાન સહજતા હોય છે- બીજી સમજણપૂર્વકની સહજતા હોય છે અને ત્રીજી જ્ઞાન સહજતા છે. સહજભાવે નીકળેલી પ્રકૃતિ સહજ છે. કોઈ અન્યને નુકસાન કરે કે કોઈ જીવને દુઃખ થાય તેટલી જ પ્રકૃતિ મોક્ષને બાધક છે. બીજી ગમે તે પ્રકૃતિ હોય, મોડું ઉઠાય, વહેલું ઉઠાય, અમુક થાય, અમુક ના થાય, તેવી પ્રકૃતિ મોક્ષને બાધક નથી. બુદ્ધિ દ્વંદ્વ કરનારી છે ને ઇમોશનલ કરનારી છે, બુદ્ધિથી જ જુદાઇ છે, બુદ્ધિ જ ભેદ પાડનારી છે. બુદ્ધિથી જ્ઞાન ઉત્પન્ન થાય, પણ વિજ્ઞાન (આત્મજ્ઞાન) ઉત્પન્ન ના થાય. વિજ્ઞાન તો સહજ ઉત્પન્ન થાય. સહજ સ્વભાવિક બુદ્ધિ દરેકનામાં હોય છે પણ સ્પર્ધામાં પડ્યા એટલે બુદ્ધિશાળીના બુદ્ધુ બનાવે. ઉપાય ના કરવો તે પણ અહંકાર છે ને ઉપાય કરવાના પ્રયત્નો કરવા તેય અહંકાર છે. ‘નિરુપાય ઉપાય’ થાય તે થવા દેવા. સહજ ઉપાય થવા દેવા. ‘અમારે’ સહજાસહજ ઉપાય થઈ જાય. પોતાને કર્તાપણાનું ભાન નહીં તે સાહજિક. વિકલ્પી સ્વભાવવાળાએ તો પોતે કશું જ કરવું ના જોઈએ. એણે તો કોઈ સહજ માણસને ખોળી કાઢવો ને તે કહે તેમ કરવું ! કુદરતી સંચાલન પ્રમાણે જીવીએ તો સુંદર જીવન જીવાય. મહીં પ્રેરણા કરે તેમ સહજ ભાવે વર્તવું જોઈએ, પણ ડખો ના કરવો. લોક કહે છે કે પ્રયત્ન કર્યા વગર થાય જ શી રીતે ! અલ્યા પ્રયત્ન કરવાનો હોય જ નહીં. પ્રયત્ન તો સહજ થઈ જ જાય. આ સાપ દીઠો કે તરત કૂદી જ જવાય - ત્યાં જો તમે પ્રયત્ન કરવા જાઓ તો સાપ ઉપર જ પગ પડે. પ્રયત્ન કરવાથી તો ઝાડોય ના ઉતરે. આ સંસારમાં જેટલું ઉપલક રહીને જોવામાં આવે છે તે કામ સારા થાય છે. ઉપલક એટલે સાહજિક. આ જગત નિરંતર હિતકારી છે, જો સહજ ભાવથી ચાલો તો જગત તમને ઊંચે લઈ જ જનાર છે, પણ સ્વચ્છંદથી લોક ચાલે છે. જે સુખને માટે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈ પણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે. નિરંતર રહ્યા કરે. દુઃખ જોવામાં જ ના આવે એનું નામ સનાતન સુખ ! સહજ ભાવે બોલવામાં વાંધો નથી પણ અભિપ્રાય ના આપશો. જેટલાં અભિપ્રાય જેને માટે બંધાયા, તેટલાં અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય, તે આપણને ખૂંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ, તો સહજ થવાય. વાતમાં પરિણામ ઊંચાનીચા ના થવા જોઈએ. સહજભાવે વાત કરો. વિચારો કરે તે પાપ છે. વિચારો ના કરે તેય પાપ છે. વિચારો તો સહજ આવવા જોઈએ જેમ આપણને કોઈક બોલાવવા આવે તેવી રીતના વિચારો આવવા જોઈએ. ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય. વ્યવહાર અહંકાર સંપૂર્ણ ઓગળી જાય તો જ સહજ વાણી નીકળે. મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે. તે બધું કર્યા જ કરે છે ને સહજ સ્વભાવે આત્માનું જ્ઞાન-દર્શન ક્રિયાકારી છે. આ બધી વસ્તુઓ પડી હોય તો તેને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે, જાણ્યા જ કરે ! હજુ તો ‘કશું નથી કરતા’ એ ભાન છે એટલે થોડો આનંદ ઓછો થાય છે. જ્યારે સહજ થશે, ત્યારે આખો દહાડો આનંદ ઓર જ જાતનો થશે ! ‘કશું કરતા હતા’ તે ભાન હતું, તે પછી હવે ‘નથી કરતા’ એનું ભાન છે. પણ ‘મૂળ વસ્તુ’ બેથી પર છે. જે સહજતા તોડે તે બધી જ ચાલાકી. ચાલાકી તો સંસારમાં પણ નુકસાન કરે અને પાર વગરનો અપજશ અપાવે. જ્યાં પોતે ‘પ્લાનિંગ’ નથી કરતો એ બધું ચોખ્ખું ‘ડિસ્ચાર્જ’ છે. ‘પ્લાનિંગ’ કરે છે તેમાં ‘ચાર્જ’ થાય છે. ‘ડિસ્ચાર્જ’ સહજ સ્વભાવી છે. એમાં દુઃખ ના હોય. વિષય ઉપર સંપૂર્ણ કંટ્રોલ હોય ત્યારે સાહજિક થાય, નહીં તો સાહજિક ના થાય. કંઇ પણ જોઇતું ના હોય અને કોઇપણ ચીજની જરૂર જ ના પડે તે સહજ ગણાય. સહજ સમાધિ એ છેલ્લામાં ‘છેલ્લું’ સાધ્ય છે. |