પરમાણુઓની અવસ્થાઓ સંપાદકીય આ જગતનું વાસ્તવિક સ્વરૂપ શું ? આ જગત છ અવિનાશી તત્વોની હેરાફેરીનું પરિણામ માત્ર છે. આખું જગત આ છ તત્વોથી ખીચોખીચ ભરેલું છે. અને એ તત્વોના સંયોજને પરમાણુઓની વિવિધ અવસ્થાઓ વિભાવિક સ્વરૂપે દ્રશ્યમાન થાય છે. આત્મા ચેતન તત્વ છે અને જડ તત્વ પરમાણુ સ્વરૂપે છે. આ પરમાણુની ત્રણ અવસ્થા છેઃ પ્રયોગસા, મિશ્રસા અને વિશ્રસા. શુદ્ધ પરમાણુ એ વિશ્રસા. હવે જ્યારે વ્યક્તિને કર્તાપણાના ભાને ક્રોધ-માન-માયા-લોભ થાય છે, ત્યારે વિશ્રસા પરમાણુ બહારથી શરીરમાં અંદર દાખલ થાય છે અને ઈલેક્ટ્રિકલ બૉડીના આધારે ચાર્જ થઈ જાય છે. જેવા ભાવ તેવા રંગે પરમાણુ રંગાઈ જાય. આ ચાર્જ થયા તે પ્રયોગસા. તે સૂક્ષ્મરૂપે હોય. પ્રયોગસા તે કારણ પરમાણુ, તે જ્યારે બીજા ભવમાં ગર્ભમાં જાય ત્યારે મિશ્રસા રૂપે થાય. મિશ્રસા થતા જ કાર્ય દેહ ઉત્પન્ન થાય અને સ્થૂળ રૂપે ફળ આપીને વિશ્રસા થઈ જાય. મિશ્રસા એ જ પુદગલ. પ્રયોગસાને પુદગલ ના કહેવાય. મિશ્રસા રૂપ ચાર્જ પરમાણુ જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે કડવા-મીઠા ફળ આવે છે. પ્રથમ સૂક્ષ્મમાં ઈફેક્ટ આવે છે, જેને આધારે સ્થૂળમાં પરમાણુ ખેંચાય છે અને બહાર સ્થૂળમાં ઈફેક્ટમાં આવે છે. અને ઈફેક્ટ વખતે રાગ-દ્વેષ થવાથી કર્તાભાવે ફરી ચાર્જ થાય છે. કરે છે વ્યવસ્થિત ને માને છે કે ‘મેં કર્યું’ એટલે વિશ્રસા પરમાણુ મહીં ખેંચાય ને પ્રયોગસા થાય, ને નવી આવતા ભવની મૂર્તિ ઘડાય. પછી પ્રયોગસા જાય વ્યવસ્થિત શક્તિના તાબામાં ને વ્યવસ્થિત શક્તિ સ્થૂળરૂપે ફરી ફળ આપે તે મિશ્રસા. એટલે આમ સ્થૂળમાંથી સૂક્ષ્મ ને સૂક્ષ્મમાંથી સ્થૂળ એમ ઘટમાળ ચાલ્યા કરે છે. તો પછી આ ઘટમાળમાંથી જીવને મુક્ત થવાનો ઉપાય શું ? તીર્થંકર ભગવંતોએ કેવળજ્ઞાનમાં આ પરમાણુ વિજ્ઞાનને જાણ્યું ને જુદું જોયું, અનુભવ્યું. તેનાથી મુક્ત થયા ને તેમણે મુક્ત થવાનો ઉપાય પ્રબોધ્યો. બલિહારી આ કાળમાં અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ની કે જેમણે આ પરમાણુ વિજ્ઞાનને જુદું જોયું-જાણ્યું ને અનુભવ્યું. અને એટલું જ નહીં પણ મનુષ્યના ભવ બંધના કારણરૂપ પરમાણુના ચાર્જિંગ પોઈન્ટ ઉપર જ જ્ઞાનસિદ્ધિથી ભેદાંકન કરી આપી સ્વરૂપની પ્રતીતિ કરાવી, શુદ્ધાત્માના લક્ષે એ પુદગલથી મુક્ત કરી દીધા. હવે બાકી રહ્યું શું ? ત્યારે કહે, આજ્ઞાપાલન, પ્રતિક્રમણ અને સામાયિક. પૂર્ણ આત્મદશા પામવાના આ સાધનોથી અશુદ્ધ થયેલા પરમાણુઓનું ઉદયમાં આવતા, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તેનું શુદ્ધિકરણ થયા કરે. પુદગલ એ મિશ્રચેતન છે, જ્ઞેય છે અને આપણે ચેતન સ્વરૂપે જ્ઞાયક છીએ. જેટલો જ્ઞાયક-જ્ઞેયનો સંબંધ રહે એટલા જ્ઞેય છે તે ચોખ્ખા થઈ ચાલ્યા જાય. મિશ્રસા પરમાણુ શુદ્ધ થયા એટલે બંધ પડ્યા સિવાય સંવરપૂર્વક નિર્જરા થઈ વિશ્રસા થાય છે. એમ કરતા કરતા પરમાણુએ પરમાણુના હિસાબ ચૂકતે થયા એટલે આપણે થયા મુક્ત ! અને મુક્ત થવું એ જ આપણો ધ્યેય છે ને ? તો ચાલો આપણે અત્રે પ્રસ્તુત દાદાશ્રી ઉદબોધિત પરમાણુનું વિજ્ઞાન સમજી પરમાણુથી મુક્ત થવાનો પુરુષાર્થ આદરી આપણું કામ કાઢી લઈએ. જય સચ્ચિદાનંદ. પરમાણુઓની અવસ્થાઓ પુદગલ - પરમાણુના ભેદ પ્રશ્નકર્તા : દાદા, આ જે પુદગલ અને પરમાણુ છે, તે એક કે જુદાં ? દાદાશ્રી : બે જુદાં કહેવાય. પ્રશ્નકર્તા : તો પુદગલ અને પરમાણુની વ્યાખ્યા શું ? દાદાશ્રી : જેના ફરી ભાગ ના થાય, એ પરમાણુ. અને ખરેખરા પરમાણુ, પરમાણુ જ કહેવાય. આ પુદગલ એ વિભાવિક થયેલું છે. વિશેષભાવને પામેલું છે આ પુદગલ. (એ) બધું પરમાણુ ને પરમાણુ સિવાય બીજું છે જ નહીં. (પણ) પરમાણુ ના કહેવું, પુદગલ કહેવું. પુદગલ છે તે અત્યારે મૂળ પરમાણુ રૂપે નથી, પણ અવસ્થા રૂપે છે. બે જાતના પુદગલ : એક વિશેષભાવને પામેલું (એને વિભાવિક પુદગલ કહેવાય) અને એક મૂળ પુદગલ, સ્વભાવિક, જે પરમાણુ સ્વરૂપે છે (એને પુદગલ પરમાણુ તરીકે કહેવાય). વિભાવિક પુદગલમાં તો જથ્થાબંધ પરમાણુ હોય અને સ્વભાવિક એ પરમાણુ રૂપે હોય. પ્રશ્નકર્તા : પુદગલેય પરમેનન્ટ (કાયમી) છે ? દાદાશ્રી : હા, મૂળ પુદગલ પરમાણુ સ્વભાવથી પરમેનન્ટ છે. અને આ (વિભાવિક) પુદગલ તો વિકૃત પુદગલ છે, મૂળ સ્વભાવિક પુદગલ પરમાણુ નહીં, ને વિકૃત પુદગલ વિનાશી છે, ગુરુ-લઘુ સ્વભાવનું છે અને સાચું પુદગલ પરમાણુ તો અગુરુ-લઘુ સ્વભાવનું છે. ના હોય પરમાણુઓને આદિ-અંત. પ્રશ્નકર્તા : આ પુદગલ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ, વિજ્ઞાનીઓ એ શોધવા માગે છે. દાદાશ્રી : શું શોધવા માગે છે ? ઉત્પત્તિ ? એમને કહેવાનું કે અવિનાશી ચીજની ઉત્પત્તિ ના હોય. ઉત્પત્તિ થાય એ નાશ થઈ જાય કાયમ માટે, એટલે ઉત્પતિ થઈ નથી, કહીએ. પણ એમને સમજાય નહીંને વસ્તુ, બુદ્ધિથી સમજે છે ત્યાં સુધી. આ લોકોએ પેલું ખોળી કાઢ્યું છે ને ! એટમ (અણુ) ખોળી કાઢ્યો છે. પરમાણુ તો એટમથી બહુ નાનામાં નાની વસ્તુ છે. એટમ તો એમને દેખાયોય ખરો. પ્રશ્નકર્તા : પરમાણુ સૂક્ષ્મ થયુંને ? દાદાશ્રી : એ આંખે દેખાય નહીં એવું. છેલ્લા ભાગ ન પડી જાય, વિભાજન ના થાય, એ પરમાણુ કહેવાય. આ પુદગલ છે, એ પરમાણુમાંથી જ થયેલા છે. બુદ્ધિ ના પહોંચે પરમાણુ પાસે પ્રશ્નકર્તા : અણુનો ‘એટમ’ શબ્દ છે, તો પરમાણુનો શબ્દ શું છે ઈંગ્લીશમાં ? દાદાશ્રી : પરમાણુ શબ્દ અહીં ના હોય. એનો શબ્દ હોય નહીં. જે દેખાય એનો શબ્દ જડે, જે દેખાય નહીં એના શબ્દ જડે નહીં. પ્રશ્નકર્તા : દાદા, આપણે પરમાણુનો ઇંગ્લીશ શબ્દ નથી તો એટમ કહી શકાય, જ્યારે પરમાણુની વાત કરે ત્યારે ? દાદાશ્રી : એટમ તો પરમાણુની અવસ્થા છે. પ્રશ્નકર્તા : વેસ્ટર્ન ફિલોસોફી (પશ્ચિમી દર્શન) ‘મેટર’ શબ્દને વાપરે છે, એ જ પરમાણુ ? દાદાશ્રી : મેટર ઈઝ નોટ પરમાણુ, બટ મેટર ઈઝ ધી ફેઝ ઑફ પરમાણુ. (મેટર એ પરમાણુ નથી પણ મેટર એ પરમાણુની અવસ્થા છે.) અવસ્થાઓ એકલી જ બુદ્ધિગમ્ય છે. આંખથી દેખાય અગર બુદ્ધિથી દેખાય, એવી અવસ્થાઓ એકલી જ છે. એ મૂળ વસ્તુ નથી. એટલે એટમ તો એ લોકો જોઈ શક્યા અને એટલું વિચારીય શક્યા કે આના હજુ ભાગ પડી શકે એમ છે અને પરમાણુના ભાગ ના પડે. પ્રશ્નકર્તા : વિજ્ઞાનીઓને કેવું છે કે આપણે કહીએ કે આ પરમાણુ આવા છે અને તૂટે એવા નથી, તો પછી એનો એ લોકોને પ્રયોગ કરવો પડે અને પ્રયોગમાં જો પુરવાર ના થાય તો એ માને નહીં કે આ સાચી વસ્તુ છે. તો અહીંના સાયન્ટિસ્ટને એ પરમાણુ અવિભાજ્ય છે, એનો તમે કેવી રીતે ઉકેલ આપી શકો ? દાદાશ્રી : એ તો અવિભાજ્ય છે, ને તે ગમે એટલા વિભાજન કરતા કરતા પહોંચેને, પણ પછી જે છેલ્લું વિભાજન થવાનું થાય છે, ત્યાં આંખથી દેખાતું નથી, દૂરબીનથી દેખાતું નથી. એટલે ઈન્દ્રિયગમ્ય નથી કે બુદ્ધિગમ્ય નથી એ. એટલે બુદ્ધિની પર જવું પડશે અને ત્યાં એમને ખ્યાલમાં રાખવું જોઈએ કે આ પ્રમાણે છે મૂળ હકીકત, બિગિનિંગ (શરૂઆત) આનાથી છે. અને એ લોકોય એક્સેપ્ટ (સ્વીકાર) કરે કે બુદ્ધિથી ઉપરનું કંઈક છે કે જ્યાં બુદ્ધિ પહોંચતી નથી. અણુનો નાનામાં નાનો ભાગ એ જ પરમાણુ પ્રશ્નકર્તા : આ સાયન્ટિસ્ટસ, ‘એટમ્સ’ અને ‘ઈલેકટ્રોન્સ’ કહે છે તે ક્યાં સુધીની સૂક્ષ્મતા કહેવાય ? દાદાશ્રી : એ બધું સ્થૂળમાં જાય. વૈજ્ઞાનિકોએ જેટલી જેટલી શોધખોળ કરી છે તે બધી સ્થૂળમાં જાય. પ્રશ્નકર્તા : જ્યારથી આ લોકોએ એટમિક બોમ્બ બનાવ્યોને, ત્યારે જડ વસ્તુમાંથી એમણે આખી શક્તિ પેદા કરી. દાદાશ્રી : જડમાં તો બહુ શક્તિ છે, ચેતન કરતાય વધારે શક્તિ. જડ તો જગત ભસ્મીભૂત કરી નાખે એટલી શક્તિ ધરાવે છે. તેનામાં ફક્ત લાગણી નથી. અણુનો ઉપયોગ કર્યો છે લોકોએ. પ્રશ્નકર્તા : મેટરમાં ઈલેક્ટ્રોન, ન્યૂટ્રોન ને પ્રોટોન ? દાદાશ્રી : એ બધું જ જડ. પ્રશ્નકર્તા : આ વિજ્ઞાનમાં આ એટમ્સ છે, આપણે ઈલેક્ટ્રોન્સ કહીએ છીએ એ અને એનર્જી એ બે વચ્ચેનું જે રિલેશન (સંબંધ) એ લોકો એક્ઝેક્ટ (બરાબર) સમજી નથી શકતા. દાદાશ્રી : પરમાણુમાં એનર્જી (શક્તિ) નથી. પરમાણુ અણુ થાય ત્યારે તે એનર્જી હોય. અણુનો નાનામાં નાનો ભાગ એ પરમાણુ. પરમાણુ પછી અવિભાજ્ય હોય. એટલે એમાં શક્તિ નથી, અવિભાજ્યમાં. આ જેનું વિભાજન થાય તેમાં શક્તિ છે. એટલે અણુ ભાજ્ય થઈ શકે, વિભાજ્ય હોય એ. જેમ જેમ સ્કંધ થાય એમ વિભાજન થઈ શકે. પ્રશ્નકર્તા : આ પદાર્થરૂપ જે કાંઈ દેખાય છે એ અણુ અને પરમાણુઓનું બનેલું છે, એ વાત સાચીને ? દરેક પદાર્થમાં જે અનાત્મા છે એ મૂળભૂત રીતે તો અણુ-પરમાણુ તો ખરા જ ને ? દાદાશ્રી : હા, ખરાં ને ! પરમાણુમાં રહી સ્વભાવિક શક્તિ પ્રશ્નકર્તા : અણુ-પરમાણુમાં પણ અત્યારે તો ઈલેક્ટ્રોન-પ્રોટોનની વાત આવી ગઈ છે. એની અંદર પણ એક જુદાં નવા તત્વો છે અને એની પાસે શક્તિ છે, તો એ ચેતન સ્વરૂપ છે ? દાદાશ્રી : ના, ના, એ શક્તિ એની જુદી છે. એ ચેતન શક્તિ નથી કોઈમાં. શક્તિ દરેકનામાં છે, જુદી જુદી છે. શક્તિ તો હોય જ, એને શક્તિ તો છે. એ અણુ-પરમાણુની કેટલી બધી શક્તિ, તે આત્માથી છૂટાતું નથી, જોને ! આ અણુ કેટલી બધી શક્તિ ધરાવે છે, જે દુનિયા સર્વસ્વ નાશ કરી નાખે ! બે પરમાણુ ભેગા થાય, ત્રણ ભેગા થાય, એ ભેગા થયા પછી શક્તિ (અદ્રશ્ય રૂપે) ઉત્પન્ન થાય છે ! પ્રશ્નકર્તા : જે છ તત્વ છે, તેમાં ફિઝિકલ (શારીરિક) શક્તિ શેમાં આવે ? દાદાશ્રી : એ છે તે અણુ-પરમાણુમાં, પુદગલમાં. પરમાણુ ભેગા થવાથી શક્તિ બધી ઉત્પન્ન થયેલી છે. એ પોતે ઘણી શક્તિવાળું છે. પ્રશ્નકર્તા : પરમાણુ ભેગા થાય, એટલે પછી શક્તિ આવે ? દાદાશ્રી : અણુને તોડે ત્યારે શક્તિ આવે, વ્યક્ત થાય. પ્રશ્નકર્તા : તો જ્યારે પરમાણુ ભેગા કરો ત્યારે... દાદાશ્રી : ભેગા થાય ત્યારે શક્તિ ના આવે, તોડે તો જ શક્તિ આવે. તોડવાથી શક્તિ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : હવે જે અત્યારે વાત ચાલે છે એ પરમાણુમાંય શક્તિ છે ? દાદાશ્રી : પરમાણુમાં (પોતાની સ્વભાવિક) શક્તિ ખરીને, પણ પરમાણુ એ અવિભાજ્ય હોય એટલે શક્તિ ફેરફાર ના થાય. પરમાણુઓમાં બહુ શક્તિ, જબરજસ્ત શક્તિ છે. અને આપણે (કર્મ) ચાર્જ કરીએ છીએ તેમાં આપણી શક્તિ નથી, ખાલી ભાવ જ છે. આપણો ખાલી પાવર એકલો જ પેસે છે. પરમાણુની પોતાની શક્તિથી જ છે. પરમાણુ નથી દ્રશ્યમાન, સાધનથી પ્રશ્નકર્તા : પરમાણુ એક છે કે અનેક છે ? દાદાશ્રી : પરમાણુઓ અનંત છે, પણ પોતે એક-એક જુદા પાડી શકે. જુદા પાડે તેને પરમાણુ કહેવાય. એટલે અનંત છે એવા. પ્રશ્નકર્તા : મારે એ જાણવું છે કે એક પરમાણુમાંથી અનેક પરમાણુ થયા છે કે ? દાદાશ્રી : કોઈ કોઈનામાંથી થયું જ નથી. કોઈ કોઈને લેવાદેવા જ નથી. એકમાંથી અનેક થયું નથી અને અનેકમાંથી એકેય થયું નથી, પોતપોતાના સ્વભાવથી છે. એટલે આમાં કોઈ કશું કરનાર નથી. ફક્ત આ સંજોગોના આધારે બે પરમાણુ ચોંટી જાય, ત્રણ ચોંટી જાય, ચોથું ચોંટી જાય અને કોઈ પણ સાધનથી દ્રશ્ય થયું એટલે એને અણુ કહે લોક. બાકી કોઈ પણ સાધનથી દ્રશ્ય ના હોય, તેનું નામ પરમાણુ. એક પરમાણુનો જે ગુણ છે, એવા બીજા બધાયમાં ગુણ છે બધા. કોઈ આ(પદાર્થ)માંથી આ (અણુ) થયા નથી કે એ (અણુ)માંથી આ (પરમાણુ) થયા નથી. જે થયા છે એવું કહેવાય ને, ત્યાં કંઈ છે તે ક્રિએશન (નિર્માણ) છે. તત્વોનું ક્રિએશન આ જગતમાં છે નહીં. ક્રિએશન જો આ જગતમાં હોય તો આ બધું મેનમેઈડ (માનવ સર્જિત) એકલું જ છે. પછી ઘડા-બડા, મકાનો-બકાનો બધું ક્રિએશન. આ તો બધી અવસ્થાઓ ઊભી થાય છે, નિમિત્તથી. આ વાદળ એ ક્રિએશન નથી, અવસ્થા છે. થિયરીથી ના સમજાય, પરમાણુની પરિભાષા પ્રશ્નકર્તા : આ જે પરમાણુઓ છે, એ કોણે શોધી કાઢ્યા ? દાદાશ્રી : શોધ્યા તીર્થંકરોએ અને જ્ઞાનીઓને સમજમાં આવી ગયું. એમનું જે જોયેલું, તે આમની સમજમાં આવેલું. પ્રશ્નકર્તા : પરમાણુ તે મોટા સાયન્ટિસ્ટોથી ડિસ્કવર નહીં થાય (શોધી નહીં શકાય), જેવી રીતે નાના એટમ્સની શોધ કરી છે ? દાદાશ્રી : હા, એટમ જડે, એટમ દેખાય. પણ એમને એવી ખાતરી છે કે આ અણુને વિભાજ્ય કરીએ છીએ, એ ભાંગી શકાય એવા છે. તે આ કોઈ વસ્તુ અવિભાજ્ય હોવી જોઈએ એવી શંકા રહે. પ્રશ્નકર્તા : આ સાયન્ટિસ્ટોને પરમાણુ દેખાય નહીં, પણ કદાચ એવું બોલશે કે પરમાણુ જેવી વસ્તુ છે. દાદાશ્રી : હા, એટલે એ પરમાણુ ના બોલે તોય એમ સમજશે કે આ વિભાજ્ય છે, માટે અવિભાજ્ય હોવું જોઈએ. એનો સામો કિનારો હોવો જોઈએ. દરેક વસ્તુનો સામો કિનારો હોય. પ્રશ્નકર્તા : દાદા, એટમ પછીના જે નાના પાર્ટીકલ્સ (કણો) છે, એને આ લોકો ઇંગ્લીશમાં સબએટોમીક પાર્ટીકલ્સ (અણુથી નાના કણો) કહે છે. ત્યાં સુધી એ લોકો પહોંચ્યા છે. દાદાશ્રી : બસ, એથી આગળ જઈ શકશે નહીં. પરમાણુ દેખાય તો તમે જુદા કરી શકોને ! બુદ્ધિથી, આંખથી ના દેખાય. ઈન્દ્રિયગમ્ય હોય તો દેખાયને ! એ લગભગ ત્યાંથી તમારે બંધ રાખવું પડશે. કારણ કે મૂળ વસ્તુ તો દેખાય એવી છે નહીં. એ જ્ઞાનીઓ એકલાને જ સમજાય. એય કેવળજ્ઞાનમાં હજુ મારેય થોડા વખત પછી જાણવાનું. અમેય (એ) કેવળજ્ઞાનથી જોઈ શકતા નથી પણ કેવળજ્ઞાનની વાત અમને સમજમાં બેસી ગઈ છે. એ કેવળજ્ઞાની એટલે એબ્સૉલ્યુટ (સંપૂર્ણ) થયેલા હોય, સંપૂર્ણ એબ્સૉલ્યુટ. હું પણ એબ્સૉલ્યુટ થયેલો પણ સંપૂર્ણતા નથી આ. જો સંપૂર્ણ એબ્સૉલ્યુટ થાય ત્યારે એ સંપૂર્ણ જાણી શકે કે આ શું છે ! જ્ઞાનીઓ ભાળે પુદગલ પરમાણુની કરામત પ્રશ્નકર્તા : આ દરેક પરમાણુને એની પોતાની જ શક્તિ છે ને ? દાદાશ્રી : હા, શક્તિ છે જ, ને અંદર આવી શક્તિવાળું હોય, તે એક જ તત્વ છે. તે આ રૂપી દેખાતું પુદગલ પરમાણુ છે. એ સ્વયં કાર્યકારી છે. પુદગલ કરામત ખૂબ ઝીણી વાત છે. એ સમજાય તેમ નથી. અહીં બેઠા બેઠા મને દરેક પુદગલની કરામતો દેખાય છે. અમે જે જોયું છે ને જે જાણ્યું છે તે અપૂર્વ છે. હું દાખલો આપું. અહીં બધા બેઠા હોઈએ ત્યારે કોઈને છીંક ખાવાની ઈચ્છા ના હોય પણ ત્યાં અંદર વઘાર થાય તો બધા છીંક ખા ખા કરે. જો તું કર્તા છું તો બંધ કરી દે ને છીંકો ! પણ બંધ ના થાય. તે પુદગલની કરામત છે. પાછું કોઈ કહેશે, પુદગલનું કર્તાપણું દેખાડો. બેન બારણા વાસીને વઘાર કરતી હોય, એની ઈચ્છા નથી ને ખાનારની ઈચ્છા નથી છતાં ઉધરસ ખવડાવે છે ને લોકોને ! અને આ કહે છે, ‘મેં ઉધરસ ખાધી.’ આ બધો ઈગોઈઝમ (અહંકાર) છે. પુદગલ, પરમાણુ તરીકે અવિનાશી જગતમાં પરમાણુ તો બધે જ્યાં ને ત્યાં છે. આખું જગત પરમાણુઓથી જ ભરેલું છે. એક-એક પરમાણુએ કરીને આખું જગત બંધાયેલું છે. એક-એક પરમાણુઓનો નિયમ છે. એટલે આ જગત ગપ્પું નથી. આ આંખે બધું દેખાય છે, કાને સંભળાય છે, આ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ બધું રૂપી તત્વ છે. એ મૂળ સ્વરૂપે અવિનાશી છે અને અવસ્થા સ્વરૂપે વિનાશી છે. એ પરમાણુ તરીકે અવિનાશી છે અને અણુ તરીકે આ બધું જે દેખાય છે તે બધું વિનાશી છે. એ એકલું જ તત્વ દેખાય એવું રૂપી છે, તેય મૂળ તત્વ નથી દેખાય એવું. આ એની અવસ્થા જ દેખાય છે. જડ રૂપી છે, ચેતન અરૂપી છે. એટલે આ જડ ઓળખાય છે આપણને અને ચેતન ઓળખાય નહીં. આ આંખે ના ઓળખાય, એ તો દિવ્યચક્ષુથી ઓળખાય. દેહમાં સમાયા વિવિધ પરમાણુ પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભના પરમાણુની વૈજ્ઞાનિક સમજણ શું છે ? દાદાશ્રી : દેહ પરમાણુનો બનેલો છે. આ શરીરમાં હોટ (ગરમ) પરમાણુયે ભરી લાવ્યા છીએ અને કોલ્ડ (ઠંડા) પરમાણુયે ભરી લાવ્યા છીએ. પછી આકર્ષણવાળા પરમાણુયે ભરી લાવ્યા છીએ, વિકર્ષણવાળાયે પરમાણુ ભરી લાવ્યા છીએ. લોભ એ આકર્ષણવાળા પરમાણુથી ઉત્પન્ન થાય છે. એટલે આ બધી જાતના પરમાણુનું બનેલું છે આખું જગત. એટલે જ્યારે ક્રોધ થવાનો થાયને ત્યારે મહીં ક્રોધક નામનું મશીન હોય છે, એ ચાલુ થઈ જાય. એ ક્રોધ કરાવડાવે. તે ઘડીએ ઉગ્ર પરમાણુ લાલ, લાલ, લાલ, લાલ થઈ જાય બધા. મશીનરી રેઈઝ (જાગૃત) થઈ ગઈ હોય એવું લાગે. આપણને લાગે કે આ મશીન રેઈઝ થઈ ગયું. હવે ચેકનટ દબાવો તે ઘડીએ ચેકનટ ચાલે નહીં. વખતે ફોજદાર છે તે પેલાને ડફળાવે, તોય અંદર ક્રોધ સળગતો હોય પેલાને. ડફળાવે તો બહારથી બંધ થાય પણ અંદર તો ક્રોધ સળગતો જ હોય. એટલે આ બધું ક્રોધ-માન-માયા-લોભના પરમાણુનું બનેલું છે અને તેની ઈફેક્ટ (અસર) થયા કરે છે. મન ઈફેક્ટિવ (અસરવાળું) છે, વાણી ઈફ્ેક્ટિવ છે અને બૉડી ઈફેક્ટિવ છે, અને તેમાં (વ્યવહાર) આત્માને પોતાનું સ્વરૂપનું ભાન નહીં હોવાથી એને એમ લાગે છે કે મને જ આ ઈફેક્ટ થાય છે. એવું માનીને એનામાં રમે છે આ બધા લોકો. પરમાણુ એ એના ગુણમાં જ રમણતા કરી રહ્યા છે. એમાં પોતાને એમ લાગે કે મને આ ^વળગ્યું. એટલે તમે શુદ્ધાત્મા થાવ ત્યાર પછી ખબર પડે કે આ તો પરભારી વસ્તુ છે આ બધી, બહાર થઈ રહી છે. પરમાણુઓનું સ્થૂળથી સૂક્ષ્મતમ સાયન્સ પ્રશ્નકર્તા : પરમાણુ જે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, એ બધાની બાઉન્ડ્રી કઈ ? દાદાશ્રી : સ્થૂળ તો આ બધા ડૉક્ટરોને દેખાય એ. મોટામાં મોટા દૂરબીનથી દેખાય. જે પરમાણુ શુદ્ધ છે, વિશ્રસા, તે સૂક્ષ્મતમ. જે પરમાણુ પ્રયોગસા છે તે સૂક્ષ્મતર. પ્રયોગસા એ જ કારણ દેહ. જે પરમાણુ મિશ્રસા છે તે સૂક્ષ્મ છે, એ જ પ્રતિષ્ઠિત આત્મા છે. મન પણ પરમાણુઓનું બનેલું છે. અભિપ્રાય એટલે અહંકાર. એ અહંકારના પરમાણુઓનો બનેલો છે. પરમાણુ છે સૂક્ષ્મ ને અવિનાશી પ્રશ્નકર્તા : એક આ મડદું છે, એને ચિતા ઉપર મૂક્યું, તે ઘડીએ સ્થૂળ બૉડી છે એ બળી જાય ને સૂક્ષ્મ બૉડી (પરમાણુ) તો તરત ચાલી જવાના ને ? દાદાશ્રી : પરમાણુ બળે જ નહીંને ! એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે આ અગ્નિ છે તે સ્થૂળ છે. એટલે પરમાણુને કશી અસર ના કરી શકે. ત્રણેવ શરીર પુદગલ છે. (1) સ્થૂળ દેહ, (2) સૂક્ષ્મ દેહ, (3) કારણ દેહ. બધા જ ગુના સૂક્ષ્મ દેહના છે. તેનાથી કારણ દેહ પરમાણુ ખેંચે છે. આ સ્થૂળ દેહના પરમાણુ બળવા માટે આવ્યા છે, સૂક્ષ્મ દેહ બળવા માટે નથી આવ્યો. તેનાથી કારણ દેહ ઉત્પન્ન થાય, તેથી કાર્યો ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : કારણ દેહના પરમાણુ શરીરમાં ક્યાં હોય ? દાદાશ્રી : કારણ દેહ તો આખા શરીરમાં ભરેલો હોય, તે પરમાણુ રૂપે હોય. એ પરમાણુમાંથી પછી કાર્ય દેહ બંધાય. આ પરમાણુ સૂક્ષ્મ રીતે હોય, પછી આવતે ભવ ઈફેક્ટિવ બૉડી (કાર્ય દેહ) બંધાય. કારણના જ કાર્ય થાય. કારણ દેહ વડના બીજ જેવો છે. એ બીજમાં પેલો આખો વડ હોય એવી રીતે કારણદેહ આ દેહમાં છે. આ વડના બીજમાં ચેતન પણ છે ને આખો વડ પણ છે. પાંદડા-બાંદડા બધું જ બીમાં છે. બધું જ કોમ્પેક્ટ સ્વરૂપે છે. બાહ્ય સાધન ભેગા થાય એટલે પ્રગટ થાય. ઝાડ ક્યાંથી વાંકું થશે તે બીજની અંદર જ ચિતરેલું છે. કારણ શરીર એ જ ચાર્જ પરમાણુ પ્રશ્નકર્તા : હવે એ ચાર્જ થયેલા પરમાણુ જે છે એ જ કારણ દેહ ? કારણ દેહ, પ્રયોગસા અને કૉઝલ બૉડી એક જ છે ? દાદાશ્રી : હા, કારણ શરીર એટલે ચાર્જ થયેલા પરમાણુ, એ કૉઝલ બૉડી. કૉઝલ બૉડી આત્માની જોડે જોડે આવે. પ્રશ્નકર્તા : અને પછી જન્મ થયો કે ડિસ્ચાર્જ થવાનું શરૂ થાય ? દાદાશ્રી : ના. આ અંદર ગર્ભમાં પેઠો એટલે ઈફેક્ટિવ બૉડી બંધાવાની શરૂઆત થાય. તે જન્મ થતા સુધી બધી ઈફેક્ટિવ બૉડી બંધાઈ રહે. હવે હોય બૉડી નાની, પણ એમાં આખી જિંદગીની બધી જ ઈફેક્ટ, એમાં આટલામાં રહી છે. એટલે બહાર જેમ જેમ સંજોગો મળશે, તેમ ઈફેક્ટો ફળ આપતી જશે. કારણ શરીર એ જ પ્રયોગસા પ્રશ્નકર્તા : કાર્મણ શરીર જે છે એ કેવી રીતે જાય ? એનો આકાર છે ? દાદાશ્રી : તે પ્રયોગસા પરમાણુ રૂપે જાય. એ કાર્મણ શરીર એ પ્રયોગસા પરમાણુ છે, બીજુ કશુંય નથી. જ્યારે એનો ઉદય આવે છે ત્યારે મિશ્રસા કહેવાય છે. પ્રયોગસા એ કર્મ કહેવાય અને મિશ્રસા એ ભોગવટો (કર્મફળ) કહેવાય. પ્રયોગસા ગયા અવતારના બાંધેલા, તે શરીરની અંદર હોય અને તેના આધારે આ ભવમાં મિશ્રસા બધા ફળ આપે. પ્રશ્નકર્તા : ખેંચાય ત્યાર પછી પાછા ફરી પ્રયોગસા થાય છે ? દાદાશ્રી : મિશ્રસા જ્યારે ફળ આપે, તે કડવું લાગેને, એટલે આપણે કો’કની ઉપર ચિડાઈએ, તે ઘડીએ પાછા પ્રયોગસા ઉત્પન્ન થાય અને ખુશ થઈ જઈએ એ ઘડીએય પ્રયોગસા થાય. એ પ્રયોગસા થયેલાને, તે છૂટતી વખતે મિશ્રસા ફળ આપીને જાય, એનું નામ સંસાર ફળ કહેવાય. પ્રયોગસા છે તે આયોજન થયેલું. પછી થાય મિશ્રસા. તે આ રૂપકમાં આવે. અને રૂપકમાં આવેલું આપણે અનુભવીએ છીએ અને તે પાછું જગત આખાને, જીવમાત્રને નિર્જરા થયા કરે છે. પ્રયોગસા તે અવસ્થિત છે અને મિશ્રસા એ વ્યવસ્થિત છે. અવસ્થિત પછી રૂપકમાં આવે. મિશ્રસા ફળ આપે છે તે વ્યવસ્થિતના નિયમોને આધારે આપે છે. એ નિર્જરા થાય તે પાછા હતા એવા ને એવા વિશ્રસા થઈ જાય. એટલે પ્રયોગસા-મિશ્રસા-વિશ્રસા ઘટમાળ ચાલ્યા જ કરે છે. પ્રયોગસા એટલે જ્યારે (વ્યવહાર) આત્મા તન્મય થાય છે ત્યારે જે પરમાણુઓનો પ્રયોગ થાય છે તે અવસ્થા. પ્રયોગસા ફેરવી શકાય છે. જેમ ટપાલ લખી અને નાખવા જાય એ બે વચ્ચે જે સમય મળે છે, તેમાં ટપાલ ના નાખવી હોય તો ના નાખે, તેમ પ્રયોગસા છે તે મિશ્રસામાં પરિણમે, તે પૂર્વે એને જો જાગૃતિ હોય તો પાછા ફેરવી શકે છે. અને જો એકવાર મિશ્રસા થઈ જાય, પછી તે અવશ્ય ફલિત થાય. પછી એને ના ફેરવી શકાય. પરમાણુઓ ચાર્જ થયા પછી મહીં પડી રહે છે. તે પ્રયોગસા પછી ફળ આપીને જાય, ત્યાં સુધી એની અવસ્થાને મિશ્રસા કહેવાય છે. મિશ્રસા પરમાણુઓ ફળ આપીને શુદ્ધ થઈ વિશ્રસામાં પરિણમે છે. એ પ્રયોગસા પરમાણુ આપણને અસર ના કરે. એ પરમાણુ મહીં જ્યારે પેલા કૉઝીઝ થાય ત્યારે પ્રયોગસા થઈને મહીં રહે. જ્યારે અસર આપવા માટે લાયક થાય અને અસર આપવા માટે બહાર પડે ત્યારે ઉદયકર્મ તરીકે આવે, એટલે એ મિશ્રસા કહેવાય. એમાં કોઈ બાપોય છટકી શકે નહીં. પ્રયોગસામાં ફેરફાર કરી શકાય. અમારી પાસે આવેને, તો ફેરફાર કરી આપીએ. મિશ્રસા તો ભગવાનથી પણ ના ખસે. જામી ગયેલું ઉદયકર્મ તો છૂટકો જ નહીં ને ! અને ઉદયકર્મ કડવા-મીઠા ભોગવી લીધા, જે પરમાણુ ખરી પડે એ પરમાણુ વિશ્રસા, પ્યૉર. પરમાણુઓની અવસ્થા કઈ કઈ ? આખું જગત પુદગલ પરમાણુઓથી ભરેલું છે. શુદ્ધ સ્વરૂપે રહેલા પરમાણુઓને તીર્થંકર ભગવાને ‘વિશ્રસા’ કહ્યા. હવે સંજોગોના દબાણથી કોઈની જોડે ગુસ્સો થયો ત્યારે તે વખતે ‘હું ચંદુલાલ છું ને મેં આ કર્યું’ એવું જે જ્ઞાન છે તેથી બહારના પરમાણુઓ ખેંચે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રાંતિથી આત્મા પુદગલની અવસ્થામાં તન્મયાકાર થાય છે. તે ભાસ્યમાન પરિણામને પોતાના માને છે, તેનાથી પરમાણુઓ ‘ચાર્જ’ થાય છે. પ્રયોગ થયો માટે તેને પ્રયોગસા કહેવાય. એ પ્રયોગસા એ ‘કૉઝલ બૉડી’ રૂપે રહે છે. તે આવતે ભવ મિશ્રસા થઈ જાય. એટલે ઈફેક્ટિવ બૉડી થઈ જાય. હવે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’ના આધારે એ પ્રયોગસા પરમાણુઓ જ્યારે ડિસ્ચાર્જ થાય એટલે કડવા-મીઠા ફળ આપીને જાય, તે વખતે મિશ્રસા કહેવાય. ડિસ્ચાર્જ થઈ જાય પછી પાછા શુદ્ધ થઈને વિશ્રસા થાય. દાન આપતી વખતે ‘હું દાન આપું છું’ એવો ભાવ થાય છે, તે વખતે પુણ્યના પરમાણુઓ ખેંચાય છે અને ખરાબ કામ કરતી વખતે પાપના ખેંચાય છે. એ પછી ફળ આપતી વખતે શાતા ફળ આપે કે અશાતા ફળ આપે. જ્યાં સુધી અજ્ઞાની હોય ત્યાં સુધી ફળ ભોગવે, સુખ-દુઃખ ભોગવે, જ્યારે જ્ઞાની એ ભોગવે નહીં, ‘જાણ્યા’ કરે. પ્રશ્નકર્તા : બહાર હોય ત્યાં સુધી ચેતનભાવને પામેલા હોય છે કે મહીં પેઠા પછી ? દાદાશ્રી : બહાર હોય ત્યાં સુધી વિશ્રસા પરમાણુઓ કહેવાય છે. મહીં પેઠા તે પ્રયોગસા ને ફળ આપે ત્યારે મિશ્રસા. સમભાવે નિકાલ કર્યે, મિશ્રસા થાય વિશ્રસા પુદગલ અવસ્થામાં આત્મા અજ્ઞાનભાવે અવસ્થિત થયો તે પ્રયોગસા. પછી તેનું ફળ ‘વ્યવસ્થિત’ આપે છે ત્યારે મિશ્રસા. પ્રયોગસા થયા બાદ ફળ આપવાનું ‘વ્યવસ્થિત’ના તાબામાં જતું રહે છે. ‘ટાઈમિંગ’, ક્ષેત્ર એ બધા જ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’ ભેગા થાય ત્યારે તે રૂપકમાં આવે. ‘સ્વરૂપનું જ્ઞાન’ થાય એટલે પોતે આ પુદગલની કરામતમાં તન્મયાકાર થાય નહીં, એટલે નવું પ્રયોગસા થાય નહીં. જૂના છે તેનો સમભાવે નિકાલ કરવો રહે. સમભાવે ફાઈલનો નિકાલ કરવાથી પરમાણુ શુદ્ધ થાય. તે વખતે ‘શુદ્ધાત્મા’ જુઓ એટલે પરમાણુ શુદ્ધ થાય. આ પરમાણુ તો નીકળ્યા જ કરવાના નિરંતર, તોય પણ શુદ્ધ થઈને જાય, એટલે ફરી દાવો નહીં માંડે. એટલે પછી પરમાણુ, પરમાણુમાં સેટઅપ થઈ ગયા ને આત્મા, આત્મામાં સેટઅપ થઈ ગયો એટલે મોક્ષ કહેવાય છે. એટલે ફરી બંધનમાં આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. એક ફેરો અબંધ થયેલી વસ્તુને કોઈ બંધ હોતો નથી. હવે આપણે શું કરવાનું કે આપણને કો’ક બે ગાળ ભાંડે, એટલે આપણે એને સમભાવે નિકાલ કરી દેવો. ‘હું શુદ્ધાત્મા છું’, એમનો શુદ્ધાત્મા જોઈને સમભાવે નિકાલ કરીએ, તો એ પરમાણુ જે મિશ્રસા હતા, એ પાછા વિશ્રસા થાય. પ્રયોગસા - મિશ્રસા - વિશ્રસા પ્રશ્નકર્તા : દાદા, આ પ્રયોગસા, મિશ્રસા ને વિશ્રસા એ વિગતથી દાખલા આપી સમજાવોને. દાદાશ્રી : હવે એ મિશ્રસામાં તો આખું જગતેય છે. મિશ્રસા એટલે શું ? આ જન્મથી તે માંડીને સ્મશાનમાં જતા સુધી મિશ્રસા છે. એમાંથી બીજું શું ઉત્પન્ન થાય ? ત્યારે કહે, બીજું પ્રયોગસા ફરી ઉત્પન્ન થાય. તે અત્યારે પ્રયોગસા ઊભું થઈ જાય, તે આવતા ભવે મિશ્રસા થાય. અને આ મિશ્રસા તો કાયમ ભોગવ્યા જ કરે છે. ભોગવટો (ડિસ્ચાર્જ) મિશ્રસાનો છે. નવો બંધ પડ્યા વગર હવે મિશ્રસામાંથી જો વિશ્રસા થયા તો છૂટ્યા, નહીં તો છૂટાય નહીં. પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે. ‘મિશ્ર ચેતન’ એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે, એને ‘મિશ્રસા’ કહેવાય. ‘મિશ્રસા’ જ્યારે રસ આપીને જાય ત્યારે એને ‘વિશ્રસા’ કહેવાય છે. ચોખ્ખા પરમાણુને ‘વિશ્રસા’ કહેવામાં આવે છે અને તેમાં ભાવ કર્યો તે વખતે ‘પ્રયોગસા’ થઈ ગયા. એ પ્રયોગસા ગયા અવતારે કરેલા હોય. એ પ્રયોગસા જ્યારે ત્યાં આગળ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં જાય પછી મિશ્રસા થઈને અહીં આવે. મિશ્રસા આ અવતારમાં ભોગવવાના. શુદ્ધ પુદગલ પરમાણુ એ વિશ્રસા પ્રશ્નકર્તા : વિશ્રસા એટલે શું ? વિશ્રસા પરમાણુઓનું આકર્ષણ કેવી રીતે થાય ? દાદાશ્રી : આ તીર્થંકરોનો શબ્દ છે. તે આમ દેખવામાં તો બહુ મોટા શબ્દો દેખાય, પણ સમજાય નહીં માણસોને. એટલે એવા ત્રણ શબ્દો છે. જેમ ચન્દુસા હોય છે ને, આપણે લખાવીએ છીએને ચન્દુસા એટલે...? એવા આ પ્રયોગસા, પછી બીજા મિશ્રસા અને ત્રીજા વિશ્રસા. તીર્થંકર ભગવંતોએ બહુ સુંદર વાત કરી, પણ આ સમજણ ના પડે તેનું કરે શું તે ? અક્કલ કૂટે સામસામી. એ તો જ્ઞાની થ્રૂ (દ્વારા) સમજી લેવું જોઈએ. હવે પહેલો કયો શબ્દ આવ્યો ? પ્રશ્નકર્તા : વિશ્રસા. દાદાશ્રી : આ જગત આખું પુદગલ પરમાણુથી ભરેલું છે. એ બિલકુલ શુદ્ધ પરમાણુ છે, એ અણુ નથી. આંખથી દેખાય નહીં, દૂરબીનથી દેખાય નહીં. એ ફક્ત જ્ઞાનગમ્ય છે. બીજા કોઈથી એ ગમ્ય વસ્તુ નથી. એ પરમાણુ જ્યારે ભેગા થાય છે ત્યારે અણુ થાય છે. પેલાને પુદગલ પરમાણુ નામ આપ્યુંને, એ ખરેખર પુદગલ હોતા નથી બિચારા. એ તો વિશ્રસા પરમાણુઓ છે. આ એકલા જ પૂરણ-ગલન કશું થાય નહીં, પણ પછી મૂળ સ્વભાવ એનો એવો છે કે બધા ભેગા થઈ જાય. પછી એના મોટા મોટા સ્કંધ બને, પછી વિખરાઈ જાય. આખા જગતના શુદ્ધ પુદગલ પરમાણુઓને તીર્થંકરો ‘વિશ્રસા’ કહે છે. વિશ્રસા એટલે તદ્દન શુદ્ધ છે. પરમાણુ બધા ભેગા થઈને અણુ થઈ ગયા હોય તોય શુદ્ધતા એની જતી નથી. એટલે આ વિશ્રસા પરમાણુથી આખું જગત ઠાંસી ઠાંસીને ભરાયેલું છે. વિશ્રસા તે સ્વભાવિક છે. એને પુદગલ ના હોય. તે અગુરુ-અલઘુ હોય. આ જે વિકૃત પુદગલ છે, વિકારી પુદગલ, જેમાં લોહી-પરુ બધું નીકળે એ મિશ્રસા. એ પુદગલ ગુરુ-લઘુવાળું હોય. કષાયોથી વિશ્રસા પરમાણુ થાય પ્રયોગસા પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ એ મિશ્રસા અને વિશ્રસા પરમાણુઓને લીધે થાય છે ? અંદર મિશ્રસા પરમાણુ છે તો પછી વિશ્રસા પરમાણુઓનું આકર્ષણ કેવી રીતે થાય ? દાદાશ્રી : વિશ્રસા એટલે બહાર જે ચોખ્ખા પરમાણુઓ છે બધા, આકાશમાં ખુલ્લી જગ્યામાં બધે જ રહેલા છે, તે વિશ્રસા કહેવાય. તે જ્યારે ક્રોધ-માન કરે, ગુસ્સો કરે કે તરત એ પેસે મહીં. મહીં પ્રયોગસા થઈને પેસે. પેસતી વખતે પ્રયોગસા હોય. ક્રોધ-માન-માયા-લોભ કરે કે તરત પ્રયોગસા થઈ જાય. અને પ્રયોગસા થયા પછી આવતા ભવમાં મિશ્રસા એટલે શરીર-બરીર બધું બંધાઈને પછી એ ફળ આપે. ફળ આપતી વખતે પાછા વિશ્રસા થઈને નીકળી જાય. હવે એ અજ્ઞાની માણસ ‘હું ચંદુલાલ છું’ એવું માનીને, જરા ખરાબ વિચાર કરે કે તેની સાથે પરમાણુ અંદર પેસે. આ પરમાણુ તો બહાર ચોખ્ખા જ છે, વિશ્રસા જ છે, પણ પેલો ખરાબ વિચાર થયો કે તરત જ પેલા પરમાણુ ખેંચાયા, તે ઘડીએ પ્રયોગસા થઈને મહીં પેસે અંદર. આપણે ભાવ કરીએ કે તરત જ એ પેસે અંદર. ભાવ ના કરીએ તો ના પેસે. પરમાણુ મહીં પેસે, તે વિશ્રસાના પ્રયોગસા થાય, એટલે પ્રયોગમાં આવે, લેબોરેટરીમાં આવ્યા. પ્રશ્નકર્તા : એ પ્રયોગસા પરમાણુ આખા બૉડી દ્વારા ખેંચાય છે ને ? દાદાશ્રી : પ્રયોગસા તો, અંદર ગયા પછી પ્રયોગસા શરૂ થાય છે, એના પરિણામ રૂપે. પ્રશ્નકર્તા : એટલે અંદર જાય છે, તે ક્યાં થઈને જાય છે ? દાદાશ્રી : આ ઈન્દ્રિયોથી. માણસને ક્રોધ આવે છે ત્યારે એ નાક વાટે પરમાણુ ખેંચે, એ પ્રયોગસા છે. પહેલું પ્રયોગસા થાય. ગુસ્સો કર્યો કે તરત એ પરમાણુ મહીં ખેંચાય. તે કેટલાક લોકોને નાકે ને મોઢેથી ખેંચાય અને કેટલાક લોકોને હાથ-પગ બધાથી ખેંચાય. આમ આમ થયા કરે ને, તે હાથે-પગે દરેક જગ્યાએથી ખેંચાય. આમ આમ થાય (ધ્રુજે) કોઈ કોઈ ? ઈલેક્ટ્રિકલ બૉડીથી ચાર્જ થાય પરમાણુ પ્રશ્નકર્તા : દાદા, એ શુદ્ધ પરમાણુ તો બધા એકસરખા જ ને ? દાદાશ્રી : શુદ્ધ પરમાણુમાં કોઈ ફેર નહીં. એ ખેંચાયું, તેની સાથે જ પ્રયોગસામાં ગયું. પ્રયોગમાં ગયા એટલે એ ક્રોધના પરમાણુ થયા આ બધા. એ પરમાણુ જે ક્રોધના થયા, તે બીજા અવતારે પાછા એટલો જ ક્રોધ આપે પાછો. પ્રશ્નકર્તા : અંદર જ્યારે ક્રોધ આવ્યો ત્યારે પરમાણુ ખેંચાયા, એ શુદ્ધ પરમાણુ હતા. જ્યારે એમાં કંઈ પ્રક્રિયા થઈ, એને બીજી રીતે પરમાણુમાં ફેર થયો હશેને ? એની સાથે ઈલેક્ટ્રિકલ ચાર્જ કે ગમે તે કંઈ ચાર્જ ખેંચાતો હશેને જોડે ? દાદાશ્રી : એ ક્રોધ આવ્યોને ત્યાંથી પરમાણુને રંગ ચોંટી જાય આ ક્રોધના અને અહંકાર આવ્યો ત્યાં આગળ પરમાણુ આમ અહંકારના થાય. પ્રશ્નકર્તા : એટલે અહંકારના પરમાણુ આખા જુદા રહે છે ? અહંકારના પરમાણુ જુદા, ક્રોધના જુદા ? દાદાશ્રી : હા, બધા જુદા જુદા. તે જ ફળ આપે પાછા. આ બહાર પરમાણુ એક જ જાતના છે. આપણે જેવું કરીએને, એવા એવા એ પરમાણુ થઈ જાય. આપણે છાતી કાઢીએ કે પરમાણુ બધા માનના થઈ જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, એનો અર્થ એવો થયો કે પરમાણુ જ્યારે અંદર ખેંચાય તે વખતે એ પરમાણુમાં કંઈક ફેર પડે છે ? દાદાશ્રી : ફેર પડ્યો તેથી જ પ્રયોગસા થયા. પ્રશ્નકર્તા : જેમ અત્યારે એમ કહે છે પરમાણુના બધા ચાર્જ હોય છે, ઈલેક્ટ્રિકલ ચાર્જ, તે એવા ચાર્જ એને હોય છે ? દાદાશ્રી : હા, એ ચાર્જ જ થઈ જાય છે. પ્રશ્નકર્તા : એ એવા ચાર્જ ક્યાંથી આવે ? દાદાશ્રી : મહીં ઈલેક્ટ્રિકલ બૉડી છે, એ ઈલેક્ટ્રિકલ બૉડીના આધારે જ બધું ચાર્જ થઈ જાય છે. પણ ક્રોધ કર્યો તો ક્રોધના પરમાણુ પાછા બીજા ઊભા થાય. લોભ કર્યો તો લોભના પરમાણુ, માન કરે તો માનના પરમાણુ, એવા બધા પરમાણુઓ ઊભા થયા કરે, બીજ નાખે. પ્રયોગસા બહુ સૂક્ષ્મ હોય, પછી મિશ્રસા એ સ્થૂળ હોય. મહીંના ભાવથી ફર્યું પરમાણુનું રૂપ પ્રશ્નકર્તા : એટલે એનો ચાર્જ તો અંદરથી જ આવેને ? એના પરમાણુ ખેંચાયા પછી અંદર ચાર્જ થાયને ? દાદાશ્રી : એ મહીં ચાર્જ થઈને જ પેસે. અહીં પેસતી વખતે મહીંથી ચાર્જ જ થઈ જાય, બહાર ચાર્જ ના થાય. આપણા શરીરમાં સહેજ આમ ખેંચાય એનાથી, ક્રોધથી ખેંચાય. અને તે ખેંચાવા માટે સાધન ના હોય તો હાથ આમ આમ હાલે, પગ હઉ હાલે બધેથી ખેંચાય. વાળ ઊભા થઈ જાય ને અહીંથી (માથાથી) ખેંચાય. આ પ્રયોગસા પછી બીજા અવતારમાં મિશ્રસા થાય. આ મિશ્રસા છે તે પરિપાક થાય ત્યારે ફળ આપીને જાય. મહીં છે તો ખરા જ બધા. પ્રશ્નકર્તા : ફળ આપીને જતા હશે, ત્યારે પાછા નવા બીજ નાખતા જાય ? દાદાશ્રી : નવા બીજ તો તમે જો ‘હું ચંદુભાઈ’ હો તો તમે નાખો. તે મનમાં તન્મયાકાર થયો કે નવું બીજ પડે, નહીં તો તન્મયાકાર ના થયો તો બીજ પડે નહીં. એ જે વિશ્રસા હતાને, તે અત્યારે પ્રયોગસા પરમાણુ કહેવાયા. પેલો પોતે ભાવ બોલ્યોને, એટલે પરમાણુનું રૂપ ફર્યું. પ્રયોગસા થયા એટલે હવે એમ ને એમ પાછા જાય નહીં. પ્રયોગસા પરમાણુ એની મેળે સ્વભાવિક રીતે જ મિશ્રસા થાય. અને મિશ્રસા થઈ અને આ બૉડી (શરીર) બંધાય એની મેળે. કોઈને બાંધવું પડે નહીં, એની મેળે જ બૉડી બંધાય. પ્રયોગસા બૉડી બાંધે નહીં. પ્રયોગસા છે તે યોજના ઉપર છે અને પ્રયોગસામાંથી મિશ્રસા થઈ અને બૉડી બંધાઈ જાય, એમાં ઉપચાર કોઈનોય નથી. કર્મો ને પરમાણુની લીંક પ્રશ્નકર્તા : મિશ્રસા અને પ્રયોગસા એને દ્રવ્યકર્મ ને ભાવકર્મ કહી શકાય ? દાદાશ્રી : એવું છે ને, પ્રયોગસા તો પહેલા થઈ જાય છે. દ્રવ્યકર્મના પહેલા થાય છે. બોલતાની સાથે જ થઈ જાય પ્રયોગસા. એ પરમાણુ ચોખ્ખા હતાને, તે બોલવા માંડ્યું ‘આપણે’, મહીં ભાવ કર્યો, તે તેની સાથે મહીં પરમાણુ પેઠા. તે બધા જ પરમાણુ રંગાઈ જાય એવા પ્રયોગસા થઈ જાય. પ્રયોગસા ક્યાં સુધી કહેવાય ? આ ચોખ્ખા મૂળ વિશ્રસા પરમાણુ છે. કંઈ વાણી બોલ્યા ને મહીં પેઠા એ પ્રયોગસા થઈ ગયા. પછી મિશ્રસા થતા વાર લાગે. મિશ્રસા થાય ત્યારે એ દ્રવ્યકર્મ કહેવાય. ત્યાં સુધી દ્રવ્યકર્મ કહેવાય નહીં. મિશ્રસા થતી વખતે દ્રવ્યકર્મ કહેવાય અને દ્રવ્યકર્મ થયા પછી પાછા ઉદય આવે. પ્રશ્નકર્તા : આ પરમાણુઓનો સ્વભાવ કેવો છે ? દાદાશ્રી : દરેક દ્રવ્યમાં અગુરુ-લઘુ સ્વભાવ એ સામાન્ય ગુણ છે. પણ પ્રકૃતિ, જે વિકૃત સ્વભાવ(વાળી) છે, તે ગુરુ-લઘુ સ્વભાવવાળી હોય. જગતમાં જે શુદ્ધ પરમાણુ છે તે અગુરુ-લઘુ સ્વભાવના છે. માણસ જ્યારે ભાવ કરે ત્યારે પરમાણુ ખેંચાય છે, ત્યારે પ્રયોગસા કહેવાય છે. એ પછી મિશ્રસા થાય. મિશ્રસા ફળ આપીને જાય, પછી પાછા વિશ્રસા એટલે શુદ્ધ પરમાણુ થઈ જાય. મિશ્રસા અને પ્રયોગસા એ ગુરુ-લઘુ સ્વભાવના છે અને વિશ્રસા પરમાણુ અગુરુ-લઘુ સ્વભાવના છે. પ્રશ્નકર્તા : જીવનની છેલ્લી ઘડીના ભાવ પ્રમાણે પુદગલ પકડે ? દાદાશ્રી : તરત જ પકડે. આ ભાવ કર્યો તે ભ્રાંતિભાવ છે, સ્વભાવભાવ નથી. મનની અંદર ભ્રાંતિભાવ થયો એટલે બહાર જે ચોખ્ખા પરમાણુઓ છે કે જેને વિશ્રસા કહેવામાં આવે છે, એ પરમાણુ પ્રયોગસાના વહેણમાં જાય અને જ્યારે પરિણામ પામે ત્યારે મિશ્રસા થાય, એ પછી કડવા-મીઠા પરિણામ આપીને જાય. અત્યારે આ દેહ મિશ્રસા પરમાણુનો બનેલો છે. તે પરિણામ આપીને જાય. આત્મા લક્ષમાં આવે, સ્વભાવભાવમાં આવે ત્યારે નવા બીજ ના પડે. પ્રયોગસા યોજના, મિશ્રસા ફળ પ્રશ્નકર્તા : જે સંયોગો આવે તે મિશ્રસામાં આવવા જ ન દઉં તો... દાદાશ્રી : પ્રયોગસામાં પેસવા દે તો મિશ્રસામાં આવ્યા વગર રહે જ નહીં. પ્રયોગસા જ ના થવા દે ત્યાં (તો મિશ્રસા આવે નહીં). અને ગયા ભવમાં પ્રયોગસા થઈને આ અવતારમાં જન્મ થાય ત્યારે મિશ્રસા થઈ જાય. પ્રયોગસાના મિશ્રસા થઈ જાય ત્યારે દેહરૂપે દેખાય અને પછી ફળ આપીને જાય ત્યારે વિશ્રસા થાય પાછા, ત્યારે હૃદયમાં શુદ્ધ ચારિત્ર (જ્ઞાતા-દ્રષ્ટા) આવ્યું, કે શુદ્ધ વિશ્રસા ઉત્પન્ન થયું. પ્રશ્નકર્તા : એટલે પ્રયોગસા પરમાણુ મિશ્રસા થઈ જાય, એમાં આપણો પુરુષાર્થ ખરો ? દાદાશ્રી : નહીં, પ્રયોગસાના મિશ્રસા થઈ જ જાય, એમાં કોઈ પુરુષાર્થ નથી. પ્રયોગસા એટલે યોજના રૂપે, મિશ્રસા એટલે ફળ સંબંધી વાત. યોજના એ (અજ્ઞાની) લોકો નક્કી કરે. ત્યાર પછી એના કામ (વ્યવસ્થિત શક્તિ) ચાલુ કરે એ જ મિશ્રસા. એ મિશ્રસા થાય પછી પાછું ભોગવીને ફળ આપીને જાય. ભાઈને કડવું-મીઠું ભોગવવું જ પડે. મહીં કડવાશ આવે, મીઠાશ આવે. મીઠાશ આવે ત્યારે કેવા ટેસ્ટમાં આવે છે ! એવું પેલો કડવો ટેસ્ટ આવે. એ પણ ટેસ્ટ ખરોને એક જાતનો ? હવે મિશ્રસાને જ્યારે જ્ઞાને કરીને નિકાલ કરે ત્યારે વિશ્રસા થાય અને જગતના લોકોનેય મિશ્રસા છે, તે પછી ફળ આપીને નિર્જરા થાય, પણ અજ્ઞાને કરીને પાછા ફરી નવા ગ્રહણ કરે છે. આ જ્ઞાન પછી નવા ગ્રહણ કરવાનું બંધ છે. એનું કારણ ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ છે એને, અને ‘હું ચંદુભાઈ છું’ એ પ્રતીતિ ઊડી ગઈ છે. જ્ઞાન પછી ખેંચનારો ગયો પ્રશ્નકર્તા : પ્રયોગસા આપણી અંદર ઉત્પન્ન જ ના થાય એવું કંઈક કરવું હોય તો આપણે શું કરવું ? દાદાશ્રી : જ્ઞાન લે તેને એવું જ કર્યું છે ને ! પ્રશ્નકર્તા : જ્ઞાન તો અમે લીધેલું છે, તો અમારી સ્થિતિ શું છે, એ મારે જાણવી છે. પ્રયોગસા અમને બધા ભેગા થાય ખરા ? મિશ્રસાનો ઉદય આવે અને એ કડવા-મીઠા ફળ આપતા હોય એ ત્યારે અમારી શું પરિસ્થિતિ ગણાય, જ્ઞાન લીધા પછી ? દાદાશ્રી : કડવા ફળ તમારે સહન ના થાય, એટલે તમે પેલાની જોડે ચિઢાઓ પાછા. પ્રશ્નકર્તા : એ ખરેખર તો થાય જ છે, થઈ જાય છે. દાદાશ્રી : એય ખરેખર તમે ચિઢાઓ નહીં, તમે તો શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ ચિઢાય. પ્રશ્નકર્તા : હા, ચંદુભાઈ ચિઢાઈ જાય છે. દાદાશ્રી : હા, તે અજ્ઞાન દશામાં એ ચિઢાઈ જાય છે તે ઘડીએ પાછો પરમાણુ ખેંચે. પણ જ્ઞાન પછી હવે પરમાણુ ખેંચવાની જે શક્તિ હતી, તે તાકાત રહી નથી. કારણ કે ખેંચનારો ગયો, ત્યાં જુદો થઈ ગયો એટલે હવે તમારે શું કરવાનું ? પરમાણુ ખેંચાતા નથી, પણ ફરી એ તમે એમાં ગયા (તન્મયાકાર થયા) એટલે ફરી પાછું એ ઉદય આવશે, એનું એ જ ફરી. એટલે સહી થયા વગરનો કાગળ ગયેલો હોય, તે ફરી પાછો સહી થવા માટે આવે, એવી રીતે. પ્રશ્નકર્તા : તો એનો મતલબ એમ થયો કે પ્રયોગસા હવે અમારે થાય જ નહીં ? દાદાશ્રી : પણ તે શી રીતે થાય ? થાય જ નહીં. પ્રશ્નકર્તા : હં, પ્રયોગ કરનારો જે છે એ અલગ પડી ગયો, એટલે પ્રયોગ થાય જ નહીંને ! દાદાશ્રી : હા, કરનારો નથીને ! કરનારો હોત તો થાય. સમતાની સહી થયે થાય નિકાલ પ્રશ્નકર્તા : પણ દાદા, જે હજી ડિસ્ચાર્જ ભાવનો અહંકાર રહ્યો છે અને ગરમી થઈ જાય છે એ બધું તો...? દાદાશ્રી : એ કંઈ પણ ચાર્જ કરી શકે નહીં. પણ જેટલું એમને એમ જતું રહ્યું, પછી ખબર પડી કે આ ભૂલ થઈ, એ ફરી પાછું આવીને આપણે ચોખ્ખું તો કરવું પડશે. એમને એમ સહી થયા વગર તે ગયેલું ચાલે નહીં, સહી થવી જ જોઈએ દરેકને. દરેક પેપર ઉપર સહી થવી પડે, સમતાની સહી થવી પડે. પ્રશ્નકર્તા : સમતાની ? દાદાશ્રી : હા, સમભાવે નિકાલની. પ્રશ્નકર્તા : એટલે પોતે હવે એમાં બરાબર ધ્યાન રાખીને બધે સહી કરી જ દેવી જોઈશે અને તો સમભાવે નિકાલ થઈ જાય ? દાદાશ્રી : હા, પણ ચીકણું હોય ત્યારે સહી ના થાય અને રહી જાય પછી, સફોકેશન (ગૂંગળામણ) થઈ જાય એટલે આના આ જ ભવમાં ફરી આવે પાછું. તે આપણે ફરી હિસાબ ચૂકવવા કરવાનો રહ્યો એટલો. કપડાં આવ્યા ને બે ધોયા વગરના રહી ગયા એટલે ફરી પાછા આવેને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બધા ધોવા જ પડશે. આ જ્ઞાન લીધા પછી તમને ક્રોધ આવે અને બહારનો માણસ ક્રોધ કરે એ બેમાં ફેર. તમે છે તે પુદગલ પરમાણુઓ ખેંચો નહીં. તમારો ક્રોધ પુદગલ ખેંચી શકે એવો નથી અને પેલા લોકોનો ક્રોધ તો ખેંચે સારી રીતે, જથ્થાબંધ ખેંચે છે. એટલે એ જે વિશ્રસા હતા તે પ્રયોગસા થાય. પ્રયોગ એટલે આ (વિભાવિક) આત્માના ભાવના યોગ સાથે જોઈન્ટ (ભેગું) થયું એ. એ પ્રયોગસા થયા એ કોઝીઝ પરમાણુ અને ઈફેક્ટ પરમાણુ, પછી એ મિશ્રસારૂપે ઈફેક્ટ થાય. તે તમારે મિશ્રસા રહ્યા ને પ્રયોગસા બંધ થઈ ગયા. જગત આખાને હવે પ્રયોગસા ને મિશ્રસા ચાલુ, છતાં પણ જેટલા મિશ્રસા છે એટલા વિશ્રસા થાય જ. મિશ્રસા એ વિશ્રસા થાય, પણ (અજ્ઞાન દશામાં) પાછા એની સામે બીજા બાંધ્યા હોય અને તમારે છે તે વિશ્રસા થાય અને (નવા) બંધાય નહીં. તમારે મિશ્રસામાંથી વિશ્રસા થયા કરવાના, પ્રયોગસા નથી થતાં. પ્રયોગ ચાલુ હોય તો બધી જોખમદારી આવે, પણ પ્રયોગ જ બંધ થઈ ગયો. કર્તાભાવે થાય પરમાણુનું પુનરાવર્તન પ્રશ્નકર્તા : વિસર્જિત થતા પરમાણુઓનું પુનરાવર્તન કેમ થાય છે ? દાદાશ્રી : એ ‘હું કરું છું’ તો પુનરાવર્તન થશે, નહીં કરો તો પછી નહીં થાય. એય તમારો ગુનો છે તેથી પુનરાવર્તન થાય છે. તમારો શું ગુનો છે કે કરે છે કો’ક ને તમે માનો છો ‘હું કરું છું.’ એટલે એ ગુનાનો દંડ છે આ. પ્રશ્નકર્તા : પુનરાવર્તન થાય તે, ‘હું કરું છું’ એવો ભાવ હોય તો જ થાયને ? દાદાશ્રી : હા, તો જ તે થાય. પ્રશ્નકર્તા : તે જ્યાં જ્યાં કર્તાભાવ થયો એટલે એ પુનરાવર્તન થાય પાછું ? દાદાશ્રી : આખું જગત કર્તાભાવમાં જ છે. સાધુ-સંન્યાસીઓ બધા કર્તાભાવમાં જ છે. ‘અમે જ કરીએ છીએ’ એ ભાન છે. ફક્ત આ જ્ઞાનને લઈને તમને કર્તાપણું છૂટ્યું, એટલે તમે શુદ્ધાત્મા થયા. ચંચળ પરમાણુ થાય સ્થિર જ્ઞાનથી પ્રશ્નકર્તા : આ બાજુ પરમાણુ સ્થિર થવાની આપે પ્રક્રિયા બતાવી, હવે બીજી બાજુ અસ્થિર, ચંચળ કેવી રીતે થાય છે ? દાદાશ્રી : આ પુદગલનો સ્વભાવ જ ચંચળ છે. પ્રશ્નકર્તા : તો એ સ્થિર કેમનું થાય પછી ? દાદાશ્રી : જ્ઞાન પછી દહાડે દહાડે સ્થિર થતું જાય, મૂળ સ્વભાવને પહોંચતું જાય. પ્રશ્નકર્તા : એનો મૂળ સ્વભાવ પાછો સ્થિર જ છે ? દાદાશ્રી : મૂળ સ્વભાવ સ્થિર જ છે. આ તો વિકૃત સ્વભાવ (થઈ ગયો) છે. પુદગલનો વિકૃત સ્વભાવ ચંચળ, અસ્થિર છે. અવિરત સ્થિરતાએ થાય શુદ્ધ વિશ્રસા પ્રશ્નકર્તા : સ્વભાવથી પુદગલ ચંચળ છે પણ મૂળ સ્વભાવે સ્થિર છે, એ બરાબર સમજાયું નહીં. દાદાશ્રી : સ્થિર જ છે બધું. મૂળ સ્વભાવે દરેક વસ્તુ સ્થિર જ હોય, ચંચળ હોય જ નહીં. ચંચળ તો પુદગલ એકલું જ કહેવાય. પણ મૂળ સ્વભાવ એટલે મૂળ અસલ સહજ સ્વભાવ, પરમાણુનો સ્વભાવ એવો સ્થિર. પ્રશ્નકર્તા : એટલે વિશ્રસા સ્વરૂપે સ્થિર છે, એવું થયું ? દાદાશ્રી : વિશ્રસા થતા પહેલાય છે તે, પણ એ પુદગલ સામે ભગવાન મહાવીરની જેવી દ્રષ્ટિ આવેને, ત્રણસો સાઈઠ ડિગ્રી ઉપર દ્રષ્ટિ આવી જાય, પછી સ્થિર જ કહેવાય એને. સ્થિર કહેવાય એટલે શું કે કિંચિત્માત્ર જેને રાગ-દ્વેષ નથી, કિંચિત્માત્ર ઈમોશનલ (ભાવુક) નથી. પ્રશ્નકર્તા : એટલે કંપાયમાન ન થાય ક્યાંય પણ ? દાદાશ્રી : કંપાયમાન ના થાય. કંપાયમાન શબ્દ બરાબર છે. અવિરત સ્થિરતા આવે ત્યારે શુદ્ધ વિશ્રસા થાય. ફળ આપે તે મિશ્રસા, એ જ પુદગલ પ્રશ્નકર્તા : પેલા પરમાણુઓ જે મિશ્રસા થાય, પ્રયોગસા થાય, એનું નામ જ પુદગલ ? દાદાશ્રી : પ્રયોગસા થાય એને પુદગલ ના કહેવાય. મિશ્રસા એ જ પુદગલ. પ્રશ્નકર્તા : પ્રયોગસા થયા પછી... દાદાશ્રી : પ્રયોગસા એટલે (પોતાના ભાવ પ્રમાણે) લાલ-પીળો રંગ અંદર પરમાણુમાં પેસે. પછી ફીડ થાય ત્યાર પછી એનું પરિણામ આવે તે મિશ્રસા થાય. પ્રશ્નકર્તા : આ બાજુ જે ભાવ ઉત્પન્ન થાય છે કે જેના આધારે પેલા પરમાણુ ગ્રહણ થાય છે, તો એ ભાવ પણ પુદગલ કહેવાય ને ? દાદાશ્રી : એ ભાવ ગલન કહેવાય. પ્રશ્નકર્તા : એ ગલન કહેવાય ? દાદાશ્રી : એ ગલનમાંથી પાછું આ ફરી ઊભું થાય. પ્રશ્નકર્તા : એ ગલન એ પુદગલ છે ? દાદાશ્રી : એ ગલન પાછું પૂરણ ખેંચે. પ્રશ્નકર્તા : પણ એ ગલન એટલે પુદગલનો ભાવ કહેવાય ? દાદાશ્રી : પુદગલનું જ ગલન. આ જે છે એ પુદગલ, ગલન ના થયું હોય એ, ત્યાં સુધી રહેલું પુદગલ. ગલન થાય એટલે પાછું બીજું પૂરણ ખેંચે. અને આપણે (આ જ્ઞાન પછી) ગલન થાય તે વખતે ચાર્જ ના થાય, એવું કહીએ છીએ. કરામત બધી પુદગલની જ પ્રશ્નકર્તા : તો પછી ત્યાં પુદગલનું જ કર્તાપણું હોય, એ એક સાઈડમાં સમજાય છે. દાદાશ્રી : હા, કર્તા જ પુદગલ છે. આ ક્રિયા પણ બધી પુદગલની છે. જડની જ ક્રિયા છે આ બધી. સ્વભાવથી જ સક્રિય છે. કોઈ ચેતન કોઈ ક્રિયા કરી જ ના શકે. પ્રશ્નકર્તા : સક્રિય એટલે શું ? દાદા, આપ જરા સમજાવશો. દાદાશ્રી : નિરંતર કંઈ ક્રિયામાં જ હોય. આ બધો વિભાવ પુદગલની કરામત છે. પુદગલ, ચેતન ન હોવા છતાં તેની કરામતથી જ બધું પેદા થાય છે. પુદગલ એટલે અનાત્મા. કરામત ભુલભુલામણીવાળી છે. માણસ જાજરે (સંડાસ) જાય અને કરાવે છે કોણ ? પુદગલ. આ જગતમાં જે જે કંઈ કરામત છે તે પુદગલની સ્વતંત્ર કરામત છે. અને જે સ્કંધ થાય છે એ તો સ્વભાવિક પુદગલ છે, એનો સ્વભાવ છે સ્કંધ થવાનો. સ્વભાવિક રીતે ભેગા થઈ જાય. અમુક બે અણુ ભેગા થયેલા તો બે અણુ, ત્રણ અણુ હોય તો ત્રણ અણુ ભેગા થઈ જાય તો સામાસામી જોઈન્ટ થઈ જાય બધા. પ્રશ્નકર્તા : એટલે જે શુદ્ધ પરમાણુઓ છે વિશ્રસા સ્વરૂપે, એને પૂરણ-ગલન છે ? દાદાશ્રી : એ ક્રિયાકારી છે, સક્રિય છે પણ પૂરણ-ગલન જ કહેવાય છે. મિશ્રચેતન એને જ પુદગલ કહેવાય, બીજા બધાને પુદગલ ના કહેવાય. પ્રશ્નકર્તા : પરમાણુ અને પુદગલ એ બેમાં ફેર કહ્યો છે ને આપે ? દાદાશ્રી : પરમાણુ ને પુદગલમાં ફેર. એક તો શુદ્ધ પુદગલ હોય છે ને એક વિશેષભાવી પુદગલ, બે પ્રકારના પુદગલ. શુદ્ધ પુદગલ છે તે અહીં બરફ પડ્યો હોય અને મોટું પૂતળું થઈ ગયું હોય. પછી પાછું ઓગળી જાય એ શુદ્ધ પુદગલ કહેવાય અને આ અશુદ્ધ પુદગલ, બે વસ્તુના ભેગા થવાથી ઉત્પન્ન થયેલું છે. પ્રશ્નકર્તા : શુદ્ધાત્મામાં એવી કંઈ શક્તિ હશે કે જે આ બધું કરે છે ? દાદાશ્રી : એમાં કરવાની શક્તિ જ નથી. એ કરવાની શક્તિ નથી એટલે એ પોતે જ બંધાયો છે પુદગલમાં. કરવાની શક્તિ પુદગલની છે આ બધી. આ બધો પુદગલનો જ કારોબાર, કરામત છે. પુદગલ એની મેળે સક્રિય થયા જ કરે. કરામત નામનો સક્રિય ગુણ જગતની જાણમાં નથી. પરમાણુઓમાં અહમ્નું સ્થાન ક્યાં ? પ્રશ્નકર્તા : તો પેલું અહમ્નું સ્થાન ક્યાં આવે છે ? જે દાદા કહે છે ને, વિશેષ પરિણામ ઊભું થયું. વિશેષ પરિણામ જે અહમ્ ઊભો થયો, એ પણ પુદગલમાં જાયને ? દાદાશ્રી : અહમ્ભાવ એ બધું પુદગલ જ છે ને ! મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધુંય પુદગલ, આત્મા સિવાય બધું પુદગલ. સંયોગ જેટલો બાઝ્યો છે એ બધુંય પુદગલ. પ્રયોગસા હોય ત્યાં સુધી (વિભાવિક) પુદગલ કહેવાય નહીં. (પણ વિધર્મી પુદગલ કહેવાય.) પ્રશ્નકર્તા : પણ આ અહમ્ છે તે કોનો ભાવ કહેવાય ? તે કોનું પરિણામ કહેવાય ? આ જે ગલન થઈ રહ્યા છે એને આધારે ઉત્પન્ન થનારું છે ? એટલે આ પરમાણુ જે છે એમાં જાય છે કે આ ચેતન વિભાગમાં જાય છે ? દાદાશ્રી : મિશ્રચેતન જ. આ બધુંય પુદગલ એટલે મિશ્રચેતન. પુદગલનો અર્થ જ મિશ્રચેતન. પ્રયોગસા એટલે પ્રયોગ ચેતન. પ્રયોગ ચેતન તે તમને દેખાય નહીં. પ્રશ્નકર્તા : મિશ્રચેતન એક્ઝેક્ટલી (ખરેખર) કોને કહેવાય ? દાદાશ્રી : તમારો ભાવ અને પરમાણુ બેનું મિક્ષ્ચર (મિશ્રણ) થાય એ મિશ્રચેતન. પ્રયોગસા એ સૂક્ષ્મ ભાવે હોય. બીજે અવતારે સ્થૂળ ભાવે (મિશ્રસા) થાય અને તે ફળ આપીને જાય. પ્રયોગસા પરમાણુ મહીં જાય છે તે કારણ પરમાણુ, તે કારણ રૂપ હોય છે ને (પછી) ગર્ભમાં જાય છે તે કાર્ય દેહ ઉત્પન્ન કરે છે. અમે મૂળ કારણ પરમાણુ બંધ કરી દઈએ, તે કારણ રૂપ ન થાય. જ્ઞાન ના હોય ત્યારે પાછું ફરી છે તે પ્રયોગસા થયા કરે અને પછી ફરી મિશ્રસા થયા કરે, ચાલુ ને ચાલુ જ. આમાં ચેતનને કશી લેવા-દેવા નહીં. શુદ્ધ ચેતન ! કરે અહંકાર ને ભોગવે અહંકાર, બધું અહંકાર જ કરે છે ને ગલનને ‘હું’ કહે છે. ભોગવે છે તેનેય ‘હું’ કહે છે અને કરે છે એનેય ‘હું’ કહે છે. બધું ‘હું’ જ છું. ‘કરું છું’ તે પૂરણ. જે ‘કરું છું’ કહે છે ને, તે વખતે પ્રયોગસા થયા કરે છે અને ‘ભોગવું છું’ તે ઘડીએ મિશ્રસા થયા કરે. ભાવ પ્રમાણે ચઢે ગિલેટ પરમાણુને હવે એ જ્યારે આપણે બોલીએ કે ‘આ મેં કર્યું’ અને ‘કેવું સુંદર કર્યું’, કે પ્રયોગસા પરમાણુ જેવા ભાવ એવા ગિલેટ થઈ અને મહીં પેસી ગયા. બે ગાળ દેવાનો ભાવ કરે છે ને, તો એ ભાવ એ પરમાણુ ઉપર ગિલેટ થાય છે. એ ભાવ પેલા પરમાણુને ભાવાત્મક કરે છે, ગિલેટેડ કરે છે. અગર તો તમે બોલ્યા કે ‘ફલાણા વકીલ નાલાયક છે’, એ તેની સાથે પરમાણુ દાખલ થાય અને તે તમે ‘નાલાયક’ બોલ્યાને, એ નાલાયકનો એનો ગિલેટ ચડી જાય. પ્રશ્નકર્તા : એટલે પેલા જે શુદ્ધ પુદગલ (પરમાણુ) હતા તે મહીં આવીને બગડ્યા. અંદર છે તે એને ગિલેટ લાગ્યો. દાદાશ્રી : ગિલેટ લાગ્યો. નાલાયકપણાનો ગિલેટ ચઢ્યો ને તમે કહો કે ‘બહુ સુંદર છે’ તો એ પણ ગિલેટ લાગી જાય. પ્રયોગસા એટલે શું ? ગિલેટ થયો તો પ્રયોગ થઈ ગયું. એટલે આયોજન કહેવાય. હા, ગિલેટ થવાનું આયોજન ! અજ્ઞાની માણસ કંઈ પણ ભાવ કરે, રાગ કે દ્વેષનો વિચાર કરે તો એ પરમાણુ ખેંચાય. ખેંચાઈને જે ભાવ હોય તે ભાવે રંગાઈ જાય. સોનાના ભાવથી તો સોનાનું ગિલેટ થાય અને ચાંદીનો ભાવ હોય તો ચાંદીનું ગિલેટ થાય, જે ભાવે કર્યું હોય પછી તેવું ફળ આપે એ ભોગવતી વખતે. કષાય ભાવે કરેલું હોય તે બહુ જ કડવા ફળ આપે. વિષય ભાવે કરેલા હોય તે કડવા-મીઠા બેઉ મિક્ષ્ચર ફળ આપે. એટલે જે જે ભાવ કર્યા હોય તે બધો હિસાબ આપણો બંધાયો. પેલો ગિલેટ શાતા આપે, પેલો (બીજો) અશાતા આપે, બન્ને ગિલેટ છે. જ્યારે આપણે વિચાર કરીએ કે ‘ફલાણાને આજે મારે નુકસાન કરવું છે’, એ અશુભ ભાવ કહેવાય. તે આ વિશ્રસાના પ્રયોગસા થાય. જો શુભ ભાવ હોય તો એ પરમાણુ સુખ આપે છે અને અશુભ ભાવ હોય તો દુઃખ આપે પણ પ્રયોગસા તો થઈ જ જાય. પરમાણુ ને ભાવની લિંક પ્રશ્નકર્તા : પરમાણુ અને ભાવની લિંક તો ક્યાંક હોવી જોઈએ ને ? દાદાશ્રી : હા, બધું હોય છે ને ! ભાવ પ્રમાણે પરમાણુ ગોઠવાઈ જાય. આ ભાઈ ‘મારે દાન કરવું છે’ એવો ભાવ કરે ને પેલા ભાઈ ‘મારે દાન કરવું છે’ એવો ભાવ કરે તો બેઉના પરમાણુ ગોઠવાઈ જાય. પણ બેઉના પરમાણુ ચેન્જ (જુદા) હોય. ભાવ કયા પ્રકારે, કેવા કેવા પ્રકારે, શું હેતુ એ પછી જોવાનું હોય. બધું આવી જાય એમાં. બેઉને જુદા હોય. એટલે પરમાણુ ભેગા થઈ જાય, બીજું કશું નહીં. પણ ભાવનું જ પરિણામ છે, વ્યવસ્થિત ! પ્રશ્નકર્તા : હા, મુખ્ય અસર ભાવની. દાદાશ્રી : પરમાણુનું તો વચ્ચે એક રમકડું ઊભું થઈ જાય છે. ભાવ પ્રમાણે પરમાણુ થઈ જાય છે. પ્રશ્નકર્તા : એટલે પરમાણુનું રમકડું એ શું ? દાદાશ્રી : આ પરમાણુથી આ બૉડી ઊભું થઈ ગયું, એ ભાવથી થઈ ગયુંને ! આ બૉડી થયું છે તે ભાવ પ્રમાણે થયુંને ! પ્રશ્નકર્તા : હા, પણ એ પરમાણુ આ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? દાદાશ્રી : પરમાણુ સૂક્ષ્મ છે પણ આમ દેખાય છે સ્થૂળ. રૂપી ખરું ને ! (એ ભેગા થવાથી) એનો જાડો જાડો ભાગ થાય એટલે સ્થૂળ થઈ જાય. મૂળ પરમાણુ હોય, તે સૂક્ષ્મ હોય. પ્રશ્નકર્તા : અને ભાવ સ્થૂળ કે સૂક્ષ્મ ? દાદાશ્રી : ભાવ એ સૂક્ષ્મ અને ભાવ પરમાણુ ખેંચે તેનેય સૂક્ષ્મ કહે છે. પરમાણુ પછી સ્થૂળ થઈ જાય. તે આખું શરીર રૂપકમાં દેખવામાં આવે. કર્તાપણાના છે કર્મબંધન પ્રશ્નકર્તા : તો આમાં સૂક્ષ્મ કર્મ કઈ રીતે બંધાતા હશે ? દાદાશ્રી : તમે કહ્યું કે ‘આ મેં કર્યું’ અને કરે છે ઉદયકર્મ. તમે એકલા નથી કહેતા, મોટા મોટા સંતો-સાધુઓ પણ એવું કહે છે કે ‘હું કરું છું’ અને તે માને છે પાછા. હવે કુદરત શું કહે છે, ‘થઈ રહ્યું છે’ તેને તું ‘હું કરું છું’ એવું બોલું છું શું કરવા તે ? એ જે કરી રહ્યો છે એ બોલ્યો, એટલે કર્મ બંધાયું. બોલ્યો એવા કર્મો ઊભાં કર્યા એણે. એટલે દેહધારી થવાનો. પરમાણુ ખેંચાય એટલે એક બાજુ ઘડે જ મૂર્તિ, એ પ્રયોગસા. પ્રયોગ કર્મ કોની પાસે જાય ? વ્યવસ્થિત શક્તિ પાસે. અને ત્યાં આગળ ‘વ્યવસ્થિત’ એને સ્થૂળરૂપે કરી ફળ આપે છે. પેલું પ્રયોગસા કર્મ સૂક્ષ્મરૂપે હોય છે અને આ મિશ્રસા કરીને ફળ આપે છે. અને એણે વિષયની ભાવના કરી હોય, તો સ્ત્રી એકલી ના આપે, સાસુ-સસરો, સાળો-સાળી બધુંય આપે, વળગાડ બધું. એટલે એક વિષય ખોળવા જતા કેટલાય લફરા વળગી જાય ! આ બધું વ્યવસ્થિતનું કામ છે. પ્રયોગસા એટલે હજુ બીજું કશું થયું નથી, મહીં આવીને પરમાણુઓ ભેગા થયા. પ્રયોગ થઈ ગયો, એની પર રંગ-બંગ ચઢી ગયા. એટલે આને જ કર્મ કહેવાય છે. પ્રશ્નકર્તા : આપે કીધું કે આ કર્મના પરમાણુઓ છે. એટલે આ શુદ્ધ પરમાણુ જુદા અને કર્મના પરમાણુઓ જુદા ? દાદાશ્રી : હા, જુદા. મહીં જે આકાશ છે ને, તેમાંથી ખેંચે પણ તે સૂક્ષ્મ છે અને સૂક્ષ્મના આધારે બહારથી સ્થૂળ પેસે. ત્યાર પછી જ ફળ આપે. અંદર પહેલાના હિસાબે કર્મ બંધાય. પછી ફળ આપતી વખતે બહારથી પરમાણુઓ પેસે છે, પછી ફળ આપે. પ્રશ્નકર્તા : અને બંધાતી વખતે સૂક્ષ્મ જ બંધાય, ફળ આપતી વખતે બહારના સ્થૂળ આવે ? દાદાશ્રી : હા, આવે. પરમાણુમાં ફળ આપવાની શક્તિ છે પણ બધાય સંયોગો ભેગા થાય ત્યારે ફળ આપે છે. રૂપી ભાગ તે સ્થૂળમાં ગણાય. બધા શુદ્ધ પરમાણુથી ભરેલું છે આ જગત, વિશ્રસા. તે એમાં ડખલ ક્યારે થાય ? તમે કોઈને અહીંયા આગળ, ‘એય અક્કલ વગરના છો. શું કરો છો ?’ બોલ્યા કે તરત જ પેલા પરમાણુ ઉપર અસર થઈ અને જેવા તમારા કષાય હોય. હંમેશાં અજ્ઞાની બોલે એ બધાય કષાય જ હોય. પ્રેમપૂર્વક બોલે તો રાગ કષાય, એટલે લોભ કષાય. પ્રેમનું વાક્ય બોલે તોય કષાય કહેવાય અને દ્વેષનું બોલે તોય કષાય કહેવાય. હવે એ કષાયવાળી આપણી વાણી નીકળેને, એટલે આ વિશ્રસા પરમાણુ હોય, એને અસર કરે એ વાણી. એને રંજિત કરે, રંગાય, રંગીન કરે. જેવો કષાય હોય ને, એવો રંગ ચઢાવે અને પછી એ ખેંચાઈ આવે મહીં, આપણા અંદર, એ પ્રયોગસા કહેવાય. તે આ પરમાણુ ક્યાં સુધી ખેંચે ? ‘હું ચંદુલાલ છું’ તેને ભાન છે, ‘હું’પણું છે ત્યાં સુધી આ વિશ્રસા પરમાણુ ખેંચે. પણ જ્યારે સ્વરૂપનું ભાન થાય, ‘હું ચંદુલાલ છું’ એ ભાન જતું રહે, ત્યારે પરમાણુ ના ખેંચે. સામાયિકથી પરમાણુઓનું શુદ્ધિકરણ પ્રશ્નકર્તા : સામાયિકથી (આ પરમાણુઓ) ચોખ્ખા થાયને ? દાદાશ્રી : થાયને, ઘણા થાય. સામાયિકથી તો બધો નિવેડો આવી જાય. પ્રતિક્રમણ છે તે પ્રજ્ઞાનું કામ છે. એટલે ઘણો ફેરફાર થઈ જાય. અને સામાયિકમાં એ જુએ છે, એટલે ધોવાઈ જાય છે બધું. જેટલા દોષ દેખાયા એટલા ધોવાઈ જાય. પ્રશ્નકર્તા : ત્યાં સામાયિકમાં તો આત્માનું જ કામ છે ને ? દાદાશ્રી : સીધું, ડિરેક્ટ. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ઈફેક્ટ (અસર) શું થાય ? પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય, એ તમે કહ્યું, તો પ્રતિક્રમણથી શું થાય ? દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે ‘જોઈએ’ ત્યારે. અને પ્રતિક્રમણથી પરમાણુમાં શું ઈફેક્ટ થાય ? પેલાને જે દુઃખ થયેલું છે તેની એને અસર રહી જાય, તો એ વેર બાંધે. એ અસર આપણા નિમિત્તે ન કરવી જોઈએ બનતા સુધી. તો આપણે ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરો.’ એટલે સામાને અસર ના રહે, બસ. પ્રશ્નકર્તા : હા, અમને એવો ખ્યાલ આવે છે કે આ પ્રકૃતિ છે. પ્રકૃતિ છે એટલે આમ કહેવાઈ જાય છે. દાદાશ્રી : પ્રકૃતિ કરે તે ખ્યાલ છે પણ એને જ્ઞાને કરીને ગાળવું જોઈએ. અજ્ઞાને કરીને ભરેલું જ્ઞાને કરીને જવા દો. કારણ કે એ બધી પ્રકૃતિ છે પણ પરમાણુ છે. એ પરમાણુ કેવા છે ? ત્યારે કહે કે મિશ્રસા પરમાણુ છે. મિશ્રસા એટલે ભરેલા અને ફળ આપતા કહેવાય. ભરેલાનું આમ બોલી જવાય એટલે ફળ આપ્યું એમણે. તે વખતે એ પરમાણુ જે છે, એને જો સ્વચ્છ કરીને મોકલીએ તો પછી એ પરમાણુની જોડે ઝઘડો (હિસાબ) આપણને ના રહ્યો. એટલે આપણે આવી રીતે શુદ્ધિકરણ કરીને નિકાલી બાબત કરો. એટલે વિશ્રસા પરમાણુ થયા એટલે તમે છૂટા. હવે આમને બધાને છે તે શુદ્ધ કરવાની ક્રિયાઓ ના ફાવે એટલે એમને કહીએ કે પ્રતિક્રમણ કરજો, એટલે થઈ ગયું શુદ્ધ. આમને બધું શી રીતે ફાવે ? આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે. જાગૃતિ એટલી અને તે તમારે નહીં કરવાનું પાછું, ચંદુભાઈને કરવાનું. તમારે જાણવાનું કે ચંદુભાઈએ કર્યું કે ના કર્યું. અતિક્રમણેય ચંદુભાઈ કરે છે ને ? નિશ્ચય આત્મા તો પોતે છૂટો જ થઈ ગયો. પણ આ પ્રકૃતિ શું કહે છે ? અમે વિશ્રસા પરમાણુ હતા અને તમે અમને પ્રયોગસા કર્યા અને તેથી મિશ્રસા અમારું પરિણામ થયું છે. મિશ્રસાને વિશ્રસા કરો. એટલે શુદ્ધ પરમાણુ કરો. હવે બીજું કશું કરવાનું રહ્યું નહીં. અંતે આજ્ઞાથી થાય શુદ્ધિકરણ કો’કને મહીં ગાળો ભાંડો ને તે તપ્યું કે ગમે તે થયું પણ સમભાવે નિકાલ કર્યો, એટલે વિશ્રસા થઈને ચાલ્યા જાય. એટલે છૂટું થઈ ગયું. (એટલું) પુદગલ શુદ્ધ થઈને ગયું. એટલે આપણે એટલા પુદગલથી છૂટા. પુદગલની ફરિયાદ છે. હવે એ શું કહે છે ? પુદગલ કહે છે કે ‘તમે શુદ્ધાત્મા થયા, દાદાએ તમને મુક્ત કર્યા એ અમેય સ્વીકારીએ છીએ પણ અમારું શું ? અમને દાદા કંઈ મુક્ત કરી શકે નહીં. જેટલું અમને કરી શકાય એટલું હતું તે કર્યું દાદાએ, બીજું તમારે કરવાનું છે. કારણ કે જિમ્મેદાર તમે છો. અમે આ ચોખ્ખા હતા, બગાડનાર તમે છો. અમને શુદ્ધ કર્યાં વગર તમે છૂટો નહીં, કારણ કે પરમાણુ શું કહે છે, ‘અમે અમારી મેળે અશુદ્ધ થયા નથી, તમે તમારા ભાવ ચોપડ્યા તેથી અમે અશુદ્ધ થઈ ગયેલા. એટલે અમને શુદ્ધ કરશો તો તમે છૂટા થશો, નહીં તો નહીં થાવ. અમે જેવી સ્થિતિમાં હતા તેવી(સ્થિતિ)માં મૂકી દો. એ જોખમદારી તમારી છે.’ ‘તમે અમને વળગ્યા છો. હવે તમે કહો કે હું છૂટો થઈ ગયો, હવે ધક્કા મારો તે ચાલે નહીં’, કહે છે. ત્યારે કહે, ‘શી રીતે કરીએ ?’ ત્યારે કહે કે ‘દાદા કહે એમ આજ્ઞા પાળો અને નિરાંતે રસ-રોટલી જમો. પછી પેટ ઉપર હાથ મૂકીને સૂઈ જાવ, જરા આરામ કરો, પણ નિરંતર દાદાની આજ્ઞા પ્રમાણે રહો.’ એટલે પછી આ આપણે એમ કહ્યું કે આ સમભાવે નિકાલ કર્યા કરો. કો’ક ગાળો ભાંડે તો સમભાવે નિકાલ કર્યા કરો. હવે એ પરમાણુ છે તે તપ્યા એટલે કડવું ફળ આવ્યું અને પેલાની મહીં આનંદ થઈ ગયો, મીઠું ફળ આવ્યું. એને જોયા કરો એટલે એ ફળ આપીને ચાલ્યા જશે તો શુદ્ધ થશે. એ પરમાણુ પછી ઊડી જાય બધાય. એ જ્ઞાને કરીને એને જો ચોખ્ખા કરેને તો વિશ્રસા થઈ જાય. એટલે એમની જવાબદારી નહીં પછી. આપણે પરમાણુની જોખમદારી ક્યાં સુધી ? વિશ્રસા ના થાય ત્યાં સુધી. એટલે અજ્ઞાને કરીને પણ એ કરેલા, તેને જ્ઞાને કરીને ગાળવાની જરૂર. અવિરત સ્થિરતા વિશ્રસા લાવે પ્રશ્નકર્તા : આત્મહેતુ માટે જે સાધનો હોય, એનાથી શુદ્ધ પરમાણુ જ પેસે ને ? દાદાશ્રી : હા, એ બહુ ઊંચા પરમાણુઓ હોય. આત્માનો ઠેઠનો હેતુ પૂરો કરી આપે અને બીજી બધી સગવડો પણ ‘ફુલ’ (પૂર્ણ) કરી આપે. આત્મહેતુ માટે જે જે કરવામાં આવે છે તેને ચક્રવર્તી જેવી સગવડ મળશે. પ્રશ્નકર્તા : કર્મનો ભોગવટો આવે તે ‘વ્યવસ્થિત’ને તાબે છે ? દાદાશ્રી : હા, તે ‘વ્યવસ્થિત’ને તાબે છે. પુદગલની સત્તા પણ ‘વ્યવસ્થિત’ને આધીન છે. પુદગલની સ્વાભાવિક સત્તા નથી. જો પુદગલ સ્વતંત્રપણે સત્તાધીશ હોત તો તો કોઈને ભૂખ લાગત જ નહીંને ! અવિરત સ્થિરતા થાય ત્યારે શુદ્ધ વિશ્રસા થાય. જ્યાં સુધી પ્રયોગસા પરમાણુઓ હોય ત્યાં સુધી વાણી બદલવાની સત્તા ખરી, પણ પછી મિશ્રસા થઈ ગયું એટલે કોઈનુંય ચાલે નહીં. પ્રશ્નકર્તા : એ બદલવાની સત્તા કઈ રીતે કામ કરે છે ? દાદાશ્રી : આપણે કોઈને ગાળ દીધી હોય, તે એના પરમાણુઓ મહીં બંધાઈ ગયા. જેવા ભાવથી બંધાયા હોય તે પરમાણુના હિસાબે પછી મહીં બેટરીઓ તૈયાર થઈ જાય. આ તો બેટરીઓ જ ‘ચાર્જ’ થાય છે. પણ આપણે થોડીવાર પછી એમ બોલીએ કે ‘ભાઈ આ ગાળ બોલ્યો હતો તે એ તો મારી બહુ મોટી ભૂલ થઈ.’ એટલે પહેલાનું ભૂંસાઈ જાય. પણ પ્રયોગસાના મિશ્રસા થઈ ગયા પછી કોઈનું ચલણ ના રહે, પછી એ ભોગવ્યે જ છૂટકો. પ્રયોગસા સમજે તો કામ કાઢી નાખે પ્રયોગસાથી ઈમ્પ્યૉરિટી (મલિનતા) ઊભી થઈ, મિશ્રસામાં ઈમ્પ્યૉરિટી રિઝલ્ટ (પરિણામ)માં આવી અને ઈમ્પ્યૉરિટી ખલાસ થઈ ગઈ એ વિશ્રસા. છેલ્લી દશા પુદગલની વિશ્રસા. બહાર સંસારમાં બધું પરાયુ (પારકું) છે તે જણાય અને અનુભવાય ત્યારે દેહના પરમાણુઓ પરાયા છે તે સમજાય. એમ કરતા કરતા એક પરમાણુ માત્ર પરાયુ છે તે જણાય. પ્રયોગસા સમજે તો બહુ કામ કાઢી નાખે. આપણે પ્રયોગસાને ચાર્જ કહીએ છીએ ને મિશ્રસાને ડિસ્ચાર્જ કહીએ છીએ. ધન્ય છે તીર્થંકરોને કે જેમણે પ્રયોગસાની શોધખોળ કરી છે ! પ્રયોગસામાં આવ્યા વગર જીવમાત્ર રહી શકે જ નહીં. પ્રયોગસામાં પેસ્યા પછી મિશ્રસા થાય. મિશ્રસા એટલે શું ? કડવા-મીઠા ફળ આપવાનો ધંધો જ મિશ્રસાનો. લોક કહે છે, ભગવાન ફળ આપે છે. ના, મિશ્રસા જ ફળ આપે છે અને ફળમાંથી પાછું બીજ પડે છે, તેય ભગવાનને ઘેરથી બીજ નાખવું પડતું નથી. ગુહ્ય વિજ્ઞાન આ પરમાણુ તણું એટલું બધું ગૂઢ સાયન્સ (વિજ્ઞાન) છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના જે પરમાણુ છે ને, તે પછી જોઈન્ટ થઈને અંદર દાખલ થઈ જાય અને તે હિસાબ બેસે ને તેવા જ ફળ આપીને પછી જાય. એમને એમ ના જાય. એટલે કોઈને ફળ આપવું-કરવું નથી પડતું. આ તો બહાર ફળ આપનારો કોઈ છે નહીં. એવો કોઈ ઈશ્વર છે નહીં કે જે તમને ફળ આપવા માટે આવે ! આપણે જે દ્વેષથી ખેંચીએ છીએને આમ, જે ખરાબ બોલીએ કે ખરાબ ભાવ કર્યો કે પરમાણુ એવા ખરાબ આવે કે કડવા ફળ આપે, ના ગમતા. સારો ભાવ કર્યો કે સારા ફળ આપે, મીઠા ફળ આપે અને ભાવાભાવ ના કર્યો, ‘હું શુદ્ધાત્મા છું’, કર્તાભાવ બંધ થઈ ગયો તો જૂના ફળ આપીને ચાલ્યા જાય, બીજા નવા ના આવે. એવી રીતે આ સાયન્સ છે, આખી પદ્ધતિ છે. પરમાણુ જ બધું કરી રહ્યા છે. જેમ એક માણસ આટલું અફીણ કે એવું તેવું ઘોળીને પી જાય પછી ભગવાનને મારવા આવવું પડે ? કોણ મારે ? એવી રીતે આ બધું અફીણના જેવું છે. પરમાણુ જ મહીં જુદી જાતના થાય છે. અમૃત જેવા, અફીણ જેવા, જાત જાતના પરમાણુ, જેવા ભાવ થાય ને તેવા પરમાણુ થઈ જાય. એ આત્માની એટલી બધી અલૌકિક શક્તિ છે ! જડની પણ એટલી બધી અલૌકિક શક્તિ છે કે એટલું ધારણ કરી શકે છે. જડની શક્તિ મેં જોયેલી છે એટલે હું કહી દઉ છું કે બહુ મોટું સાયન્સ છે આ. આત્માની તો શક્તિ છે જ, એ તો આખું જગતેય એક્સેપ્ટ (સ્વીકાર) કરે છે પણ જડની શક્તિ ભયંકર શક્તિ છે. આત્મા કરતા વધી જાય એવી શક્તિ છે. એટલે જ આ બધું ફસાયું છે ને ! નહીં તો આત્મા મહીં ફસાયા પછી ધારે ત્યારે કેમ ના છૂટી જાય ? ત્યારે કહેશે, ના, જ્યાં સુધી આ વિજ્ઞાન નહીં જાણે ત્યાં સુધી છૂટે નહીં. પોતે અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટે નહીં. નથી પ્રયોગસા, જ્ઞાન પછી જગત પુદગલમય જ છે બધું. પણ જે બધા સ્વભાવિક પરમાણુ છે, એને વિશ્રસા કહેવાય. તે ‘હું ચંદુભાઈ છું’ એવું જ્યાં સુધી હતું, ત્યાં સુધી આખો દહાડો ધર્મ ક્રિયા કરે તોય એ પરમાણુ મહીં પેસ્યા કરે, પૂરણ થયા કરે. કારણ કે ‘અલ્યા ભાઈ પરમાણુ, તમે કેમ મારા ઘરમાં પેસો છો ?’ ત્યારે કહે છે કે ‘‘તમે પોતે જ પુદગલ છો. તમે જો આત્મા છો તો અમારે કંઈ અવાય નહીં. હા, તમે ‘હું ચંદુભાઈ છું’ કહો છો, માટે અમે આવીએ છીએ.’’ હવે ‘હું શુદ્ધાત્મા’ કહે, એટલે આ બધા પરમાણુ મહીં પેસે નહીં. કોઈ પણ ક્રિયા કરો તો પરમાણુ પેસે નહીં. અને (નહીં તો) પરમાણુ પેસે તો પુદગલ પૂરણ થયા કરે અને તો પાછું ગલન થવાનું. પણ જેને આત્મા પ્રાપ્ત થયો ત્યાં પરમાણુ જ પેસે નહીં. પછી ફળ ક્યાંથી આપવાનું હોય ? કડવા પણ નહીં ને મીઠાયે નહીં. પોતાના સુખમાં રહેવાનું. અને આમ કડવા-મીઠા, પોતાના સુખને આવવા ના દે ને કડવા-મીઠામાં જ રાખે. અને પેલું પોતાનું સ્વયં સુખ, જેની તૃપ્તિ રહે, નિરંતર તૃપ્તિ કરે. કોઈ વસ્તુ ના હોય તોય ચાલે એવું પોતાનું સુખ છે. આમ ભાવ કરતાની સાથે આખું પરમાણુ ચેન્જ (ફેરફાર) થઈ જાય છે અને આત્માનો સ્વભાવ મૂળેય એવો છે કે જેવું કલ્પે તેવો થઈ જાય. તેથી અમે તમને કલ્પના શી આપીએ છીએ કે ‘તું શુદ્ધાત્મા જ છું.’ તમે બીજી રીતે કંઈ છો જ નહીં અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે, ગપ્પું નથી મરાવતા. ગપ્પું મારેલું રહે નહીં. એક કલાકેય ટકે નહીં. વખતે છ મહિના ટકે અંધશ્રદ્ધાથી, તો પણ લાંબો કાળ રહે નહીં. એ તો તૂટી જ જાય અને તે મહીં શાંતિ ના આપે. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિર્વિકલ્પ દશા છે. એમાં પરમાણુ પેસતા નથી, વિકલ્પમાં પરમાણુ પેસે. મૂળ સ્વભાવનું પુદગલ, વિશ્રસારૂપ અનંતા જ્ઞેયોને વીતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું, તેવું આ ‘દાદા’એ એક જ જ્ઞેય, એક પુદગલ જોયું છે. પુદગલ તો સ્વાભાવિક રીતે એક જ છે, મૂળ સ્વભાવનું પુદગલ, વિશ્રસાનું બનેલું ! જગત છે, નેટ (સો ટકા) ચોખ્ખા પરમાણુનું. હવે વીતરાગોએ પુદગલ જોયું, એ શું જોયું ? ત્યારે કહે, પુદગલની જાતજાતની વેરાયટીઓ (વિવિધતાઓ) છે ને તે વેરાયટી એમના જ્ઞાનમાંથી કાઢી નાખીને એક જ આ બધું પુદગલ જ છે. આમ વેરાયટી તો લોકોએ, બુદ્ધિશાળીઓએ પાડી’તી. એટલે મહાવીર ભગવાન એક પુદગલને જ જોયા કરતા હતા. બીજું કંઈ જોતા ન હતા. વેરાયટી-બેરાયટી ના જુએ. અહીં તો વેરાયટી કેટલી બધી તે ? દરેકની દુકાને પુદગલની વેરાયટીઓ હોય. પણ ભગવાન શું જોતા’તા કે આ સ્ત્રી-પુરુષ, આ છોકરો, આ આમ-તેમ, આ સોનું, આ રૂપું-પિત્તળ, આ આમ, એવું બધું નહીં, એક જ પુદગલ. એટલે આ છોડવાનું ને આ ન છોડવાનું એવું નહીં. બધું એક જ પુદગલ છે. એક જ પુદગલ રીતે જોયા કરતા હતા, બસ. બીજું કશું જોતા ન હતા ભગવાન. ભગવાન બહુ પાકા માણસ. નહીં તો કાચો પડે તો માર ખાયને ! ખીલા મારનારો કાચો પડ્યો પણ ખીલા ખાનારા પાકા, તે ચાલ્યા ગયા. કેવી રીતે ખાધા કે એ ચાલ્યા ગયા ને મારનારો રહી ગયો ? એક જ પુદગલ જોયું એમણે, પુદગલ પુદગલને મારે છે. જ્ઞાયક-જ્ઞેય સંબંધે સંવરપૂર્વક વિશ્રસા પ્રશ્નકર્તા : આપે શુદ્ધાત્મા બતાવ્યો, હવે એને બીજું તો કંઈ રહ્યું નહીંને ? દાદાશ્રી : આપણું પોતાનું (કંઈ) ના રહ્યું, પણ આ ગનેગારી રહીને આ પાછલી ! પ્રશ્નકર્તા : એ ભોગવી લઈશું, એ વાંધો નહીં. ઉદયમાં એવું કંઈ હોય તો ભોગવી લઈશું. દાદાશ્રી : ના. ભોગવી લે, એવું એકલું ના ચાલે. ભોગવી લે, એ તો તમે ભોગવી લો. પણ તે પાછો ફરી એનો નિકાલ નહીં થાય, એનો નિવેડો નહીં આવે. ત્યારે એ શું કહે છે કે દરેક પુદગલને ‘જોઈને’ કાઢો કે તમે જ્ઞાયક છો અને આ જ્ઞેય છે પુદગલ. જો તમે જ્ઞાયક-જ્ઞેયનો સંબંધ રાખશો, ત્યારે જ્ઞેય છે તે સ્વચ્છ થઈ, ચોખ્ખા થઈને ચાલ્યા જશે. જ્ઞેય એટલે પુદગલ. જે અસ્વચ્છ છે તે સ્વચ્છ થઈને ચાલ્યા જશે. એટલે જેટલા જેટલા સ્વચ્છ થઈને ગયા એટલી ફાઈલોનો નિકાલ થઈ ગયો. શુદ્ધ કર્યું એટલે પરમાણુ પછી વિશ્રસા થઈ જાય છે. સંવર રહે છે, બંધ થતો નથી. વિશ્રસા તો આ જીવમાત્રને થાય છે જો કે, પણ એમને બંધ પાડીને વિશ્રસા થાય છે, જ્યારે અહીં બંધ પડ્યા સિવાય સંવરપૂર્વક વિશ્રસા થાય છે. પરમાણુના હિસાબ ચૂકવાયે થાય મુક્તિ ‘એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુ-લઘુ અમૂર્ત સહજપદ રૂપ જો.’ - શ્રીમદ્ રાજચંદ્ર એ કહે છે કે એક પરમાણુની સ્પર્શતા ન થાય, તો ‘પૂર્ણ કલંક રહિત સ્વરૂપ અડોલ’ રહી શકે. જ્યાં સુધી જેના જેના પરમાણુ ગ્રહણ કર્યા છે, એ ગ્રહણ કરેલા બધાને પહોંચી (નહીં) જાય અને કોઈનો લાલ વાવટો ના ધરે ત્યારે આપણે જાણવું કે બધાય લીલો વાવટો ધરે છે, એટલે પરમાણુ પહોંચી ગયા. એટલે કલંક ના રહ્યું, કારણ કે કોઈએ લાલ વાવટો ધર્યો નહીં. એટલે કલંક રહિત અડોલ સ્વરૂપ, એટલે અમારે એમાં સ્થિરતા છે. તે હવે કોઈ ડગાવી શકે એમ છે નહીં. એટલે બધા પરમાણુ ચૂકવી દેવા પડશે. પરમાણુએ પરમાણુના હિસાબ ચૂકવી દેવા પડશે. આ પરમાણુ બધા લોકોના લીધેલા છે, તે પરમાણુ લોકોને આપી દીધા, એટલે આપણે મુક્ત થયા ! જય સચ્ચિદાનંદ |