બાહ્ય સુખ - અંતર સુખનું બેલેન્સ સંપાદકીય એકવીસમી સદીમાં આજે મનુષ્ય આધુનિક ડેવલપમેન્ટમાં ટોચના શિખર સુધી પહોંચ્યા છે, જ્યાં સમગ્ર વિશ્વના લોકો આજે ટેક્નોલૉજી અને ડિજિટલ યુગના સાધનોમાંથી મળતા સુખમાં તરબોળ છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. ભૌતિક ટેક્નોલૉજીનો ઉપયોગ પ્રમાણમાં થાય એ એક પૉઝિટિવ સાઈડ છે પણ સાથે બીજી બાજુ આજનું ભૌતિક વિજ્ઞાન ‘આઉટ ઑફ બેલેન્સ’ થતું જાય છે. ‘નૉર્માલિટી’નું પ્રમાણ ચૂકતા ‘પૉઈઝન’ (વિષ સમાન) થતું જાય છે. આજે આ ભૌતિક વિજ્ઞાનથી બાહ્ય સુખ પાર વગરના થઈ ગયા છે, ત્યારે બીજી બાજુ અંતર સુખ સૂકાઈ ગયું છે ! આજના કાળમાં જગતમાં જ્યાં જોઈએ ત્યાં સુખ શોધવાની પાછળ અશાંતિ વધી છે. કારણ કે ‘સુખ’ બાહ્ય સગવડોમાં માન્યું છે. જેમ કે ટી.વી., ફોન, બંગલા, કારમાં સુખ માન્યું છે એટલે અંદર જંપ ક્યારે વળે ? લોકોનું જોઈને સ્પર્ધામાં પડી નકલ કરે છે. બાહ્ય સુખ ના મળે ત્યાં તપ ચૂકાય છે, અને તેથી કલ્પિત દુઃખોની બળતરામાં રાચે છે. તેને ઠારવા ફરી મનોરંજનના કાદવ ચોપડે છે. ભગવાને કહ્યું છે કે અંતર સુખ ઘટે ને બાહ્ય સુખ વધે તો જાણજે કે મરવાનો થયો. મનોરંજનના સાધનોમાં પત્તા રમવા, ટી.વી.-મોબાઈલ જોવા એ બધા કુસંસ્કારોથી જ્ઞાન આવરાય. જેમને મોક્ષે જવાની ઉતાવળ ના હોય, હજુ પચાસ-સો અવતાર કાઢવા હોય તો એમને ટી.વી.-મોબાઈલમાં રાચવાનો વાંધો નથી. મનોરંજન એટલે શું ? ત્યાં આગળ ખુશ થાય, કૂદાકૂદ કરે, જેમ પાણી ઉકળતું હોય તેમ અને પાછો નીચે ઉતરે ત્યારે હતો તેવો ને તેવો જ. જીવનમાં મનુષ્યએ પોતાના માટે આવશ્યક વસ્તુ ને અનાવશ્યક વસ્તુ શું છે એની ભેદરેખા જાણવી જોઈએ. આ દેહને મુખ્ય તો હવા, પાણી, રોટી, કપડાં, મકાન, નોકરી-ધંધો એટલું જ આવશ્યક છે. પરંતુ જગત આખું ‘અન્નેસેસરી’ (બિનજરૂરી) પરિગ્રહના સાગરમાં ડૂબેલું છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે અમે આખી જિંદગી હાથમાં લાખો રૂપિયા હોય છતાંય ગાડી, ઘડિયાળ, રેડિયો, ટી.વી., ટેલિફોન લાવેલા નહીં. આવશ્યક ચીજનો ખર્ચ હોય, ખોટો બિનજરૂરી ખર્ચ કર્યો નથી. કોઈ વસ્તુ અમને ચોંટી નથી. મારી સંપૂર્ણ સ્વતંત્રતા મેં અનુભવેલી છે, ત્યાર પછી મને જ્ઞાન થયું છે. અહીં આત્મજ્ઞાન છે એ રિયલની વસ્તુ છે એટલે આત્મરંજન થાય, ત્યાં તૃપ્તિ થાય. આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે આવો અક્રમ માર્ગ મળ્યો છે પછી એક મિનિટ સમય કેમ કરીને બગાડાય ? આ પુણ્યૈ જાગી છે, માટે પુણ્યનો દુરુપયોગ હવે ના કરાય. આ પુણ્યનો સદુપયોગ આત્મકલ્યાણ માટે જ જોઈએ. આપણે સહુ આ એક ભવ પાંચ આજ્ઞા પાળી આત્મરંજનમાં આવી નિરંતર આત્માના શુદ્ધ ઉપયોગમાં રહી શકાય એવો પુરુષાર્થ આદરીએ એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. ~ જય સચ્ચિદાનંદ. (પા.૪) બાહ્ય સુખ - અંતર સુખનું બેલેન્સ ટી.વી. એ તો ગંધાતો કાદવ, લ્હાયને ઠારવા દાદાશ્રી : રવિવારે તમારા નજીકમાં જ સત્સંગ હોય છે તો કેમ આવતા નથી ? પ્રશ્નકર્તા : રવિવારે ટી.વી. જોવાનું હોય ને, દાદા ! દાદાશ્રી : ટી.વી.ને તમારે શું સંબંધ ? આ ચશ્મા આવ્યા છે તોય ટી.વી. જુઓ છો ? આપણો દેશ એવો છે કે ટી.વી. ના જોવું પડે, નાટક ના જોવું પડે, બધું આ અહીં ને અહીં રસ્તા પર થયા કરે છે ને ? પ્રશ્નકર્તા : એ રસ્તે પહોંચીશું ત્યારે એ બંધ થશે ને ? દાદાશ્રી : કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઈમ (સમય) વેડફી રહ્યા છે. કમાવવા માટે નોકરીએ જાય એ તો કંઈ અનર્થપૂર્વકનું ના કહેવાય. જ્યાં સુધી પેલી દ્રષ્ટિ મળે નહીં, ત્યાં સુધી આ દ્રષ્ટિ છૂટે નહીં ને ! લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે ? એને લ્હાય બળે ત્યારે, એવું આ ટી.વી., સિનેમા, બધું ગંધાતા કાદવ કહેવાય. એમાંથી કશો સાર ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય, તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : રાતે મોડે સુધી ટી.વી. જોતા હોય એટલે પછી (છોકરાં) સૂવે જ નહીં ને ! દાદાશ્રી : પણ ટી.વી. તો તમે વેચાતું લાવ્યા, ત્યારે જુએ ને ? તમે જ છોકરાંઓને ફટવ્યા છે ને બધા ! આ તમે મા-બાપે છોકરાંઓને ફટવ્યા છે અને ટી.વી. લાવ્યા પાછા ! એ તોફાન નહોતું તે પાછું વધાર્યું તોફાન ! પ્રશ્નકર્તા : હા, તે દુનિયામાં રહેવા માટે તો દુનિયાનું કરવું જ પડે, નહીં તો આ લોક તો કહે, ‘બાઘા છો.’ દાદાશ્રી : દુનિયામાં રહેવા માટે ખાવાનું, શ્વાસનું, કપડાં-બપડાં અને આ મકાન, એટલું જ આવશ્યક છે. બીજી આવશ્યક વસ્તુ નથી. સંડાસની આવશ્યકતા બહુ છે. સંડાસ ના હોય તો તમને ખબર પડી જાય. જો સરકાર એમ કાયદો કરી દે કે પંદર દહાડા સુધી કોઈએ સંડાસ ના જવું. તો સરકારને કહે, ‘તમે કહો એ વેરો ભરીએ, પણ અમને સંડાસ જવા દો.’ હવે જેનું મહાત્તમ આટલું બધું છે, તોય લોકોને કિંમત નથી. સરકાર સંડાસ બંધ કરે તો કેવી દશા થાય ? પ્રશ્નકર્તા : બહુ બુરી દશા થાય. દાદાશ્રી : તે ઊલટો સરકારનો ઉપકાર સંડાસ જવા દે છે, બહુ સારું છે ! રેડિયોથી મનનું રંજન, એ ફૂલિશનેસ અમારા ફ્રેન્ડ રેડિયો લાવ્યા હતા. કહે છે, ‘હું બે રેડિયા સાથે લાવીશ.’ મેં કહ્યું, ‘મારો રેડિયો ના લાવીશ.’ ‘અરે મૂઆ, તું મનુષ્ય થઈને આ રેડિયો ખોળું છું ? આ બહાર અહીં ઓછા છે, આ આટલો ઘોંઘાટ તો થાય છે ! તે આટલા ઘોંઘાટમાં તો આપણને નવરાશ ના હોય, ઘડીવાર શાંતિ નથી રહેતી, તે આ પાછો ઘોંઘાટ ?’ એ રેડિયો મને યાદ પણ આવ્યો નથી, કોઈ દહાડો લેવાનો વિચાર પણ નથી આવ્યો. મેં આ કોઈ પણ વસ્તુ આજ સુધી લીધી નથી. (પા.૫) ઘરમાં વસ્તુ વધારે લાવવાની થાય, તો હીરાબા કહે, ‘ઊલટી આ એક પાછી મૂકીશું ક્યાં, ઉપાધિ શું કરવા વધારો છો ?’ તે હીરાબા ને અમેય એક મતના, ગાડી ખરેખરી ચાલે અમારી. બીજી ભાંજગડ જ નહીં ને ! ભઈબંધો કહે છે, ‘રેડિયો લાવો.’ અલ્યા મૂઆ, આ માથાફોડ, આખો કાન ફોડી નાખે એવો રેડિયો ! અને તેમાં મહીં બોલનારા માણસો કંઈ વાત સર્ટિફાઈડ કહેતા નથી. એમાં તો શું સાંભળવાનું ? મૂઆ, શાના હારુ આ રેડિયો જોઈએ ? આ રેડિયો શેના હારુ લોકો શોધે છે ? પ્રશ્નકર્તા : મનનો આનંદ. દાદાશ્રી : મનનું રંજન કરવા માટે. તો અમારા મનને તો આનંદ પાર વગરનો રહેતો હોય, તો રંજન કરીને અમારે શું કામ છે તે ? મને તો એમ લાગે કે આ ફૂલિશ (મૂર્ખ) માણસોના હાથમાં આ આવું રમકડું આવ્યું ! આ આટલી બધી ફૂલિશનેસ તો છે ને પાછા આ રમકડાં હાથમાં આપ્યા ! વાંદરાના હાથમાં પેલું આપે ને, ડુગડુગિયું, એના જેવું આ બધું. આ કશું હું અડું નહીં. મૂરખ બનાવે છે આ રેડિયા રેડિયો હું સાંભળું, તો મારા ટાઈમનું શું થાય ? માણસની પાસે (એનું) સાંભળતા છે તે કંટાળો આવે છે, તો આ રેડિયો વળી શાને ? એ કશું ના હોય અમારી પાસે. આ મેડનેસ (ગાંડપણ) છે બધી. પ્રશ્નકર્તા : દાદા, અમારે એ બધુંય જોઈએ છે ને તમારે નહોતું જોઈતું એનું કારણ શું ? દાદાશ્રી : ના, એ તો પછી તમે લોકોનું શીખીને કરો. હું લોકોનું જોઈને શીખ્યો નથી. મેં એક પઈ દુરુપયોગ નથી કર્યો આખી જિંદગીમાં. ઘડિયાળ તો જાણે પહેર્યું જ નથી કોઈ દહાડોય. એમ રેડિયોય જોયો નથી, એ સાંભળ્યો જ નથી. આ મૂરખ બનાવવાનું કામ, મને તરત જ સમજણ પડે કે મૂરખ બનાવે છે આ રેડિયા. આ બધા રેડિયા (લોકો) ગા ગા કરે છે તે ગમતા નથી અને આ નવો રેડિયો અહીં લાવ્યો, ભોં ભોં કરે એવો. આ બહાર રેડિયાઓ બૂમાબૂમ કરતા હોય ને, તે ના ગમે. આ બધા લોકો રેડિયા જ છે ને ! કેટલાક તો એવા રેડિયા હોય છે, તે આપણને વાત કહેવા આવ્યો હોય ને આપણે એને કહીએ, કે ‘હું બધી વાત સમજી ગયો, હવે બંધ રાખો ને !’ ત્યારે કહે, ‘તમે મારી વાત પૂરી સાંભળો ને !’ અરે, રેડિયો તો બંધ થાય, તું તો મૂઆ બંધેય ના થઉં ઊલટો ! આ બધા રેડિયા છે તે ઊલટું કાન ફૂટે છે ! આ બધા રેડિયા જાય છે ને બજારમાં, રસ્તામાં જતા નથી જોયા રેડિયા ? જોયેલા કે નહીં ? અને કોઈ ના હોય ત્યારે પેલા ગધ્ધેસિંગ છે તે રેડિયો વગાડે (હોંચી હોંચી કરે), હડહડાટ ! પેલા લંબકર્ણ ! અમારે તો કોન્ટ્રાક્ટનો ધંધો ને, તે પાંચસો-પાંચસો ગધેડા હોય, માટી નાખનારા. એય પાછા રેડિયો વગાડે હડહડાટ ! પરવશતાના સાધનો નીચે ઉતારે તે મારો મિત્ર કહે છે, ‘રેડિયો કેમ નહીં ?’ ‘અલ્યા મૂઆ, જાનવરો જે સંઘરે નહીં, તે રેડિયો મનુષ્યો સાંભળે ?’ મેં કહ્યું. પ્રશ્નકર્તા : દાદા, અભિનયની કળા પણ છે આપનામાં. તત્ત્વજ્ઞાન સાથે કળાકાર હશો એ ખબર નહોતી. દાદાશ્રી : હા, કળાકાર તો બહુ હતો. અને તે ભારે કળાકાર કહેવાય ! બોધકળા બહુ હતી. તે જ્ઞાનકળા પછી થઈ. રેડિયો લાવો, ફલાણું લાવો. અલ્યા મૂઆ, (પા.૬) આ પરવશતાઓનો પાર નથી, તેમાં પાછી આની પરવશતા ઊભી કરી. મૂઆ, શું કરવા પરવશ થાવ છો, ઠોકાઠોક ! રેડિયો મારા મિત્રએ મફત આપેલો તોય મેં પાછો આપી દીધેલો, બીજાને આપી દીધેલો. એ રેડિયો તો હોતો હશે ? માણસ રેડિયો સાંભળી શકે ? એ તો જે ઈન્દ્રિયગમ્ય છે, જ્યાં આગળ ઈન્દ્રિયગમ્ય સુખો છે, તેને માટે છે. એટલે આપણા હિન્દુસ્તાન સિવાય બહાર ઈન્દ્રિયગમ્ય લોકો છે, એમને માટે બરોબર છે. પ્રશ્નકર્તા : જી હા. દાદાશ્રી : એ કષાયયુક્ત નથી, આ કષાયયુક્ત પ્રજા છે. આમને આવો રેડિયો-બેડિયો સંભળાતો હશે ? પણ એ પેસી ગયા ને ! જુઓ ને, એ ભૂતા આ લોકોએ પ્રૉપેગન્ડા (પ્રચાર) કરીને ઘાલ્યા. રેડિયો નહીં, બીજી કોઈ ચીજ મારામાં પેઠી નથી. આમ તો કન્ટ્રાક્ટનો ધંધો હતો એટલે લાવી શકીએ. પણ પહેલેથી જ મને ઊલટું એમ લાગે, કે આ કઈ જાતના મૂરખા માણસો, તે આવું શું શોધી કાઢ્યું છે ? તે મને ફૂલિશ લાગ્યા કરે. આ લોકો કેવા ફૂલિશ થઈ ગયા છે ! આગળ વધવાને બદલે આમ ચાલ્યા ! આ કંઈ હિન્દુસ્તાનને માફક આવે એવી શોધખોળ છે ? આ તો નીચે ઉતારવાની શોધખોળો છે ! ડેવલપમેન્ટવાળા ના અડે રેડિયો આ છોકરાં જુઓ ને, અહીં કાને રેડિયો લગાડી નથી રાખતા ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : બસ, બીજું કંઈ નહીં, આમ રેડિયો લગાડીને સાંભળે. કારણ કે નવેનવું ઉદયમાં આવ્યું છે, બિચારાને. નવું ડેવલપમેન્ટ છે. જો ડેવલપમેન્ટ થયેલું હોત તો તો અડાડે જ નહીં. એક ફેરો જોઈ લીધો પછી અડાડે જ નહીં. નવીન વસ્તુને એક ફેરો જોવાની હોય, કંઈ એનો કાયમ અનુભવ લેવાનો ના હોય. અનુભવ તો લઈને જ આવેલા છે. પણ આ છોકરાંઓ બધા અહીં ને અહીં અડાડીને બેસી રહે છે ને, આખો દહાડોય. તમને કેમ ગમતું નથી ? પ્રશ્નકર્તા : એ જ વિચાર મારા મનમાં ચાલે છે હમણાં. દાદાશ્રી : એ ડેવલપ થઈને આવેલા છે. પ્રશ્નકર્તા (મહાત્માને) : તમને ગમે છે રેડિયા-બેડિયા સાંભળવા ? બિલકુલ કાંઈ પસંદ નથી ? દાદાશ્રી : ના, એય ના અડે, આ બધા તો ના અડે. પ્રશ્નકર્તા : ત્યારે તો બધા ડેવલપ્ડ કહેવાય ! દાદાશ્રી : એ ના અડે, કોઈ ના અડે. આમાં કોઈ અડે નહીં. આ તો નવા કાચા માણસો અડાડ અડાડ કરે અહીં આગળ. મનુષ્યમાં પહેલી વખત આવેલો હોય તો એ અડાડે. મનુષ્યમાં હજારો વખત આવેલો માણસ શી રીતે અડાડે ? સમજાય છે ને તમને ? ટાઈમ પાસ કે જીવતર વેડફ્યા ? માણસોને ટાઈમ જ શી રીતે મળે છે, આ રેડિયો સાંભળવાનો ? મહીં આપણી મશિનરી એટલા બધા કામમાં લેવાની છે અને આ રેડિયો સાંભળવામાં શી રીતે ટાઈમ જાય છે ? પેલો દૂર... ત્યાંથી બીજા દેશવાળો બોલ્યા કરતો હોય એની મેળે, મારા કાન ફૂટે છે એ સાંભળીને. આપણને શું લાભ ? એ લઢાઈમાં લઢે, (પા.૭) તેમાં આપણને શું લાભ ? અને હિન્દુસ્તાનની લઢાઈ વખતે જોઈ લઈશું આપણે. પણ અત્યારે વગર કામના માથે લઈ લઈને ફર્યા કરો છો ! આવીને પાછા મને શું કહે ? ‘જોયું દાદાજી, પેલા ચંદ્ર પર પહોંચ્યા ને !’ તને આમાં શું ફાયદો ? મૂઆ, તું શું કરવા કૂદાકૂદ કરે છે વગર કામનો ? ચંદ્ર પર પહોંચ્યા કે નહીં પહોંચ્યા ! તે આપણા લોકોની બેભાન અવસ્થા છે. પોતાનો ટાઈમ બધો લોકો યૂઝલેસ (નકામો) ખોવે છે. આ હિન્દુસ્તાન દેશમાં તો આઠ આના ખોવાઈ ગયા હોય તેના માટે આઠ કલાક જો જો કરતો હોય એવાય માણસો છે ! એટલે સહુ સહુની સમજણ પ્રમાણે સમય વાપરે. આ મનુષ્યદેહ મહાપરાણે મળ્યો છે. બહુ કિંમતી છે આ દેહ, પણ જેવી સમજણ હોય એવું એ વાપરી ખાય. સમજણ પ્રમાણે વાપરે ને ? આ કરો છો તેને અમે ‘ખોટું છે’ એમ નથી કહેતા. ખોટું તો આ દુનિયામાં કશું હોતું જ નથી. પણ એમાં ટાઈમ બગડે ને ? ‘વેસ્ટ ઑફ ટાઈમ’ (સમયની બરબાદી) છે. કોઈક ફેરો મનુષ્યપણું પ્રાપ્ત થયેલું હોય તેય સમજણના અભાવને લઈને ખૂંચવાઈ જાય ને ચાર પગો, છ પગો, આઠ પગો થાય. ભટક ભટક કરે ને બધો ટાઈમ ધૂળધાણીમાં જાય, વેડફાઈ જાય. રેડિયો - ટી.વી. એ તો મેડનેસ બધી ! મને તો નાનપણમાં રેડિયો જોઈને એવું થયેલું કે આ બધું ગાંડપણ કંઈથી પેસી ગયું ? આમાં શું સાંભળવાનું ? આપણે માણસો સામસામી બોલીએ તે સાંભળવાનું હોય જીવતાનું. આ મરેલાનું (મશિનરીનું) શું સાંભળવાનું ? આ તો બધી મેડનેસ છે. આ તો ઘનચક્કર બનાવવાનું કારખાનું છે બધું. પ્રશ્નકર્તા : પાછા સ્ટીરિયો લાવ્યા છે. આ તો કહે છે, દસ લાખ રૂપિયા આવે તો ટેલિવિઝન લઈ આવું. દાદાશ્રી : કોઈ વસ્તુ એવી નથી કે મને ચોંટી હોય. અરે મૂઆ, આ તો બધી માંકડાની રમતો છે. અલ્યા, હું માંકડું છું ? આ તો જડ વસ્તુને તું સાંભળું છું ? જડ વસ્તુ ઘોં ઘોં ઘોં કર્યા કરે, તે આ મૂઓ પાછો કાન દઈને સાંભળે ! મૂઆ, મરી જઈશ. રેડિયો સાંભળે, આ ટી.વી. જુએ. અલ્યા, શું જુએ છે તે આંખ્યોને બગાડે છે વગર કામનો ? આ મનુષ્યોમાં ક્યાં બરકત છે તે ? કૂતરાને ટી.વી જોવા બેસાડીએ તો બેસે ? ટી.વી. જુએ ખરું ? ત્યારે કૂતરાને પૂછતા હોય તોય સમજણ પડી જાય ! આમાં શું જોવાનું ? આ મેડનેસ કહેવાય. અમારે ત્યાં તો મહેન્દ્રભાઈ લાવ્યા છે, તે અમને એક ફેરો પા કલાક બેસાડ્યા તો અમને ના ફાવ્યું. એ અનુકૂળ જ ના આવે ને ! આ આંખો ખેંચાઈ જાય બધી. પ્રશ્નકર્તા : દાદા, એડજસ્ટ થવું પડે ને ? દાદાશ્રી : ના, એડજસ્ટ તો થઈએ, પણ આપણને અનુકૂળ ના આવે ને ! એડજસ્ટ થઈએ, આપણે વિરોધી નથી. એ કહે છે, ‘અમારે લાવવું છે વેચાતું.’ મેં કહ્યું, ‘લાવો ભઈ.’ એમાં વિરોધ ના કરીએ આપણે. લાવો, મૂકો, જુઓ. એ પૂછે, કે ‘આમાં નુકસાન શું ?’ તો અમે કહીએ, નહીં તો વારેઘડીએ આપણે શું કરવા કચકચ કરીએ ? સહુ સહુનું બગાડે. આ સિનેમામાં શું જોવાનું છે ? જોવાનું તો અહીં આગળ બધું, આ બધું સિનેમા જ છે ને ! બજારમાં જાય તો નર્યા માણસો આમ આય-જાય કરતા હોય, એ જો જો કર્યા કરીએ. તો આ જોઈએ તો આંખોય સારી થાય. કોઈનું મોઢું સારું દેખાઈ જાય કો’ક ફેરો. (પા.૮) ટી.વી.ના મોહથી પચાસ-સો અવતારો વધે પ્રશ્નકર્તા : દિવસમાં બે-ત્રણ કલાક આપણે ટેલિવિઝન જોઈએ એ શું કહેવાય, દાદા ? દાદાશ્રી : એ ટેલિવિઝન તો જોવાય જ નહીં. એ જોઈએ એટલે બસ ત્યાં જ ઉપયોગ રહે. બે ઉપયોગ રહે નહીં તમને. અને જોવામાં હંમેશાં બે ઉપયોગ થાય નહીં. સાંભળવામાં બે ઉપયોગ થાય, કાન વાસી નખાય. ટેલિવિઝન તો જોવાય જ નહીં. પ્રશ્નકર્તા : અને ઈન્ડિયન મૂવીયે ના જોવાય ? દાદાશ્રી : કશુંય જોવાય નહીં. ટી.વી. તો આંખોની શક્તિ તોડી નાંખે છે. અને આંખો ખેંચવાની થાય, આંખોનું જ્યાં ખેંચાણ થાય ને, ત્યાં આખુંય શરીર ખેંચાતું હોય, એટલે ઉપયોગ રહે નહીં બીજી જગ્યાએ. અને મોક્ષની ઉતાવળ ના હોય તો ટી.વી. જોવાનો વાંધો નથી, હજુ પચાસ-સો અવતાર કાઢ્યા પછી જવું હોય તોય વાંધો નથી. પ્રશ્નકર્તા : ટી.વી. જોવું ને એ બધું તમે કહ્યું કે જુઓ ને જાણો અને પછી એની મેળે ખરી જાય તો એ ખરું કે આ છોડી દેવું એ ખરું ? દાદાશ્રી : ટી.વી.-બીવી ના હોય આમાં. છોકરાં ટી.વી. જોતા હોય તો એ આંખોને ખરાબ કરનારું છે. અને ચંદુભાઈ જોતા હોય તો આપણે એને જરા ઠપકો આપવો. ઠપકો એટલે કહીએ, તમે ચંદુભાઈ આવો ટાઈમ શું કરવા બગાડો છો ? પ્રશ્નકર્તા : આ છોકરાંઓને નૉલેજ માટે, પેલું વાઈલ્ડ લાઈફનું આવતું હોય, નેચરનું આવતું હોય, ન્યૂઝ આવતા હોય એના માટે... દાદાશ્રી : એ બરોબર છે. છોકરાં જુએ, આપણે દેખાડીએ ખરા, પછી ઊઠીને આપણે આપણા કામમાં પેસી જવું. એને રાગે પાડી આપીએ. મોક્ષની ઉતાવળ ના હોય ત્યાં વાંધો નહીં ! પ્રશ્નકર્તા : પત્તા રમવા, રમી રમવું અને ટી.વી. જોવું એનાથી કયું કર્મ બંધાય ? દાદાશ્રી : બળ્યું, અજ્ઞાન કર્મ, બીજું કયું કર્મ ? દર્શન મોહનીય. પ્રશ્નકર્તા : દર્શન મોહનીય બંધાય, આવરણ આવ્યા કરે ? દાદાશ્રી : જ્ઞાન આવરાય, જ્ઞાન બધું ઊડી ગયું ને દર્શન મોહનીય આવી ગયું. એનાથી તો ઊભું થયું છે જગત. કાળ બગડતા નુકસાન થાય પ્રશ્નકર્તા : તે તમે સિનેમા જોવા ગયેલા ? દાદાશ્રી : હું વીસ વર્ષનો હતો ત્યારે ૧૯૨૮માં એક ફેરો સિનેમા જોવા ગયેલો. તે વખતે સાયલન્ટ સિનેમા હતો, ટૉકીઝ નહોતો. ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે ‘અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?’ સિનેમા જોવા તો ઘણા વખત ગયેલો, પણ એક વખત વિચાર આવી ગયો’તો કે આ સિનેમા તો આપણા હિન્દુસ્તાનમાં આખું સંસ્કાર જ હીન કરી નાખશે ! પહેલા હું સિનેમાનો વિરોધી હતો કે આનાથી તો લોકોમાં સંસ્કાર ખલાસ થતા જાય છે. સિનેમા ઉપર છે તે મનમાં ગુસ્સોય રહ્યા કરતો’તો કે આ કળિયુગ ધસી રહ્યો છે, આગળ વધી રહ્યો છે આ સિનેમા ભાળીને. પછી સિનેમાઓ ફેલાવા માંડ્યા ને સિનેમાનો છે તે લોકરસ વધ્યો, એટલે (પા.૯) હું સમજ્યો કે કળિયુગ ઝપાટાબંધ ધસી રહ્યો છે. રાત્રે ચણા લેવા મોકલો તો ના મળે ને, બે વાગે ? પ્રશ્નકર્તા : બે વાગે ન મળે, બાર વાગ્યા સુધી મળે. દાદાશ્રી : ચણા છેય ખરા, વેચનારાય છે, બધુંય છે પણ કાળ બદલાયો. શું થયું ? ચણાવાળાની દુકાને જઈને આપણે બૂમ પાડીએ કે ‘ભઈ, ચણા આપો.’ તો કહે, ‘સવારે આવજે, ભઈ અત્યારે ના હોય કાળ.’ એવું આ કાળ બદલાય ને ! મહાવીર ભગવાનને ગયે પચ્ચીસો વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે જ્ઞાની પુરુષ નથી ભેગા થયા. થયું કોઈ ? કારણ કે કાળ બદલાયો છે હવે. પણ એકદમ દુનિયા બદલાય-પલટાઈ ના જાય. એ પછી એની અસરો થયા કરે. હવે અવળી અસરો થયા કરે. પછી બીજો વિચાર આવ્યો કે ‘શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ? શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો. જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ છે.’ જોડે જોડે એમેય વિચાર આવ્યો’તો કે જે વસ્તુ આટલી બધી સ્પીડથી સંસ્કારહીન કરી નાખે છે દેશને, એ જ વસ્તુ પછી એટલી જ સ્પીડથી સંસ્કારવાળુંયે કરી નાખે. જે બગાડનાર સંયોગ છે એ જ સુધારે. એટલે જેટલી સ્પીડથી બગાડે તેટલી સ્પીડથી સુધારે. અને એવું જ થવાનું છે, જોજો ને ! પ્રશ્નકર્તા : એટલે આ સાધનો બહુ મોટા છે, એટલી સ્પીડથી જ સુધારે. દાદાશ્રી : એટલી સ્પીડથી સુધારી આપે. એની માટે કોઈ વસ્તુ નુકસાનકારક નથી. કાળ એવો ભેગો થાય ત્યારે નુકસાન થાય. જેવા ભાવ હોય એવું ભેગું થાય પ્રશ્નકર્તા : દાદા, આ ટેપરેકૉર્ડર છે, આ ટી.વી. છે, પિક્ચરો-ફિલ્મો છે, એ બધી વસ્તુઓ ભેગી થાય છે, તો પૂર્વે કેવા ભાવો કરેલા ? દાદાશ્રી : હં. ‘મારે ભણવું છે’ એવો ભાવ કર્યો હોય તેથી કૉલેજ ભેગી થાય અને પુસ્તકો ભેગા થાય. પ્રશ્નકર્તા : બરોબર. તો આવી બધી વસ્તુઓ ભેગી થાય તેમાં કયો ભાવ હશે ? આ મોજશોખના સાધનો બધા. જો આ જન્મમાં જે ભોગવવાનું હોય એ ગયા જન્મના ભાવનું પરિણામ હોય તો ગયા જન્મમાં ટી.વી., રેડિયો, કમ્પ્યૂટર શોધાયા ન હતા, તો એ આ જન્મમાં ભોગવવાના કઈ રીતે થયા ? દાદાશ્રી : એવું નથી હોતું. મનમાં ભાવ હોય કે મારે આ નવી નવી ચીજ બધી જાણવી છે. એટલે પછી નવી ચીજો ખોળે બધી. એ ભાવનું પરિણામ છે. બાકી ટી.વી., રેડિયો જોઈએ એવો ખ્યાલ જ ના હોય ને ! પણ નવી જે કોઈ ચીજ ઉત્પન્ન થઈ હોય તે મારે જાણવી છે. એટલે આંખની ચંચળતા, કાનની ચંચળતા એ બધું ભેગું થાય. પ્રશ્નકર્તા : એટલે ચંચળતાથી એ ભેગું થાય પણ ભાવ કયો હોય એમાં ? દાદાશ્રી : આ જોવાનું ગમે, તે જોવાનું ગમે અને ભાવો પડતા જ જાય ને, બધા. પ્રશ્નકર્તા : ઈન્દ્રિયગમ્ય ભાવો ? દાદાશ્રી : હં. ઈન્દ્રિયગમ્ય ભાવનાથી આ બધુંય. કેવા ? મને કેમ ભેગું નથી થતું ? નાનપણથી ઘડિયાળેય નથી ભેગું થયું. ના જરૂરિયાતની ચીજ લાવે એ ‘મોહ’ અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર (પા.૧૦) હોય ! કોઈ ઘડિયાળની કંપની કે રેડિયાની કંપની મારી પાસેથી પૈસા લઈ ગઈ નથી. અમે એ વસાવ્યા જ નથી. એટલે કોઈએ પૈસા એવા મારી પાસે લીધા નથી. મને થાય કે આનો અર્થ જ શો ? મીનિંગલેસ (અર્થહીન). જે ઘડિયાળ મને હેરાન કરે, આમ જોતાની સાથે મહીં તેલ રેડાય ! જેમ ઘણા ફેરા બાપને દેખવાથી તેલ રેડાતું હોય, બાપ આવી પડ્યા હોય અને આપણે કશું વાંચતા ના હોઈએ, ચોપડી આઘી મેલીને કંઈ બીજી રમતમાં પડ્યા હોય ને, ત્યારે બાપને દેખીને તેલ રેડાય, એવું તેલ આમ ઘડિયાળ જોતા રેડાય. બળ્યું મેલ એ ઘડિયાળને છેટું ! અને આ રેડિયો-બેડિયો તો પ્રત્યક્ષ ગાંડપણ છે, મેડનેસ છે. પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો ઘર-ઘરમાં છે, બધા જ ઘરમાં. દાદાશ્રી : નહીં, એ વાત જુદી છે. એ તો એની સમજણમાં જ નથી, ભાન જ નથી ત્યાં આગળ શું થાય તે ? એને મોહ કહેવાય છે ને ! મોહ કોને કહેવાય છે ? ના જરૂરિયાતની ચીજ લાવે અને જરૂરિયાત ચીજની કસર વેઠે, એનું નામ મોહ કહેવાય. અમને જરૂરિયાત ચીજ જ નથી રહી હવે. પ્રશ્નકર્તા : ઘરના બધાને પરિગ્રહને લીધે ભેગું કરવું છે. મારે છોડવું છે પણ છૂટતું નથી. દાદાશ્રી : હા, તમને ગમતું નથી, ખરી વાત છે. પરિગ્રહો છોડ્યા છૂટે એવા નથી ને ! છૂટે એવા છે ? આ ઘડિયાળ તમારું ક્યારે છૂટે ? અને મેં આખી જિંદગીમાં ઘડિયાળ પહેર્યું નથી. લ્યો, બોલો હવે ! આ રેડિયો તો હું ઊભોય ના રહું. આ ટાઈમ નકામો જાય છે. આ ગુડ ગુડ ગુડ બોલ્યા કરે છે ! મેર અક્કરમી, આમાં શું સાંભળવાનું છે તે ? ટાઈમ નકામો જાય છે. પણ અણસમજુને માટે એ બધું કામનું છે. અમુક માણસને માટે કામનું નથી. મારે માટે કામની નથી, આ કોઈ વસ્તુ. આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે મને મોહ ઉત્પન્ન થયો હોય ! આ તો કોઈ સ્ટોર નવો લે ને, તે મારા જેવા માણસ હોય ને, તો ત્યાં વેપાર કરે તો ચાલે નહીં. કોઈ દેખાય જ નહીં. દુકાન જ ચાલે નહીં ને, બિચારાની. મારા જેવાની સોસાયટી હોય ને, એ સોસાયટીમાં દુકાન કાઢે તો શી રીતે ચાલે એમાં ? કારણ કે મેં ઘડિયાળ જ નથી લીધું વેચાતું કોઈ દહાડોય કે રેડિયો નથી લીધો. ભાગ્યે જ પેન વેચાતી લીધી હોય તો, નહીં તો પેન્સિલથી લખું કે પેલા હોલ્ડરથી લખું. રાતે ફોન કરવાનું ના જ કહી દીધેલું મને કનુભાઈ કહે, ‘આપણે ફોન લઈએ.’ મેં કહ્યું, ‘નિરાંતે ઊંઘીએ છીએ. ઘરમાં કોઈને ઊંઘ ના આવતી હોય, અને પછી તે ઊંઘી ગયો હોય ત્યારે પેલી ઘંટડી વાગે ! એ ધંધો શું કરવા જોઈએ તે ?’ ત્યારે કહે, ‘ફોન વગર શું કરશો ? અત્યારે વ્યવહાર થઈ ગયો છે ને !’ ત્યારે મેં કહ્યું, ‘જોડેવાળા રાખે છે ને ! સરનામું આપી રાખેલું છે.’ તે ત્રણ વાગે રાતનો ફોન એ સાંભળે અને સવારમાં આપણને કહે. અને તે આપણે એને ધન્યવાદ આપીએ, ઉપકાર માનીએ. અને વાળીએય ખરા. કારણ કે એ બિચારો રાત્રે ત્રણ વાગે સાંભળે, પછી સવારમાં આપણને કહે. કહે કે ના કહે ? પ્રશ્નકર્તા : કહે. દાદાશ્રી : આપણને કહેય ખરા, ‘રાતે ત્રણ વાગે આવેલો ! મને તો હમણે ઊંઘ નથી આવતી ને મેં જરાક ઝોકું ખાધું ત્યાર હોરું તો આ ફોન આવેલો.’ કલ્યાણ થઈ ગયું બા ! હું પહેલેથી જાણતો’તો. (પા.૧૧) છતાંય વખતે કંઈક સંજોગોમાં, ધંધામાં એવું લાગે, કે ફોન રાખવાની જરૂરત પડતી હોય અને કોઈ ફોન રાખતો હોય, તો અમે ના કહેવાના નથી. અને મારા ના કહેવાથી બધા કંઈ ન રાખે એવું બને નહીં. પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : તે પછી મારી રૂમમાં રાખ્યો હોય ફોન આ લોકોએ, તે ફોન ઉપર જેની વાત આવે ને, તેને કહી દઉં, કે રાતે મારી સ્થિતિ સારી રહેતી નથી, તબિયતની અનુકૂળતા નથી, માટે રાતે ફોન કરવાનું બંધ રાખજો, એવી મારી વિનંતી છે. એટલે રાતે કંઈક ફોન કરવો હોય, તો મનમાં નક્કી કરવું કે સવારમાં જ કરીશું હવે. બહુ ઉતાવળ હોય તોય એમ નક્કી કરવું કે સવારમાં કરીશું. એટલે રાતે ફોન કરવાનું ના જ કહી દીધેલું હોય બધાને જ, મારી પાસે જે આવતા હોય તેને. સમજો કે આ શોખની વસ્તુ નહોય મેં કહ્યું, ફોનનું વળગણ ક્યાં વળગાડીએ ? આપણે નિરાંતે સૂઈ ગયા હોય તો... ટાઢ વાતી હશે તો આવશે, આપણે ત્યાં આપણને વાતી નથી. જેને વાતી હશે તો અહીંયા આવશે. નહીં વાતી હોય તો તો આવવાનો જ નથી. અને આપણને કંઈ ટાઢ વાતી નથી. તે બધા ઑફિસરો કહે છે, કે ‘તમે ફોન લ્યો, લ્યો.’ મેં કહ્યું, એ ઑફિસરો તો બધા શોખની ખાતર કે એમનો વટ વધે, તે વટવાળા વટદાર લોકો હોય. જ્યારે આપણે મામૂલી આદમી, નિરાંતે સૂઈ રહેનારા ! નિરાંતે આખી રાત પોતાની સ્વતંત્રતાથી સૂવે. કોઈ મચ્છરેય (અમારી ઊંઘને) આઘીપાછી ના કરે. એટલે એ ફોન કોણ રાખે ? ઘંટડી ખખડે કે ઉપાધિ ! ઘંટડી વાગી એટલે ઊંઘમાં ખલેલ કરી. કનુભાઈને કહ્યું, ‘આપણે ના હોય ખલેલ.’ વખતે માકણ-ચાંચડ ખલેલ કરે કે મચ્છરું ખલેલ કરે તે તો ફરજિયાત છે, એ મરજિયાત નથી. અને આ તો મરજિયાત ખલેલ, વટ બતાવવા માટે. અમે પછી ગાડી કેમ નહોતા રાખતા ? પહેલા ગાડી રાખતા હતા. ત્યારે ડ્રાઈવર કહે, ‘સાહેબ, ફલાણા પાર્ટ તૂટી ગયા છે.’ હું તો નામેય ના જાણું. પછી મને થયું, આ તો ફસામણ ! ફસામણ તો વાઈફ જોડે કરવા જેવી ! એની જોડે છોકરાં થઈ ગયા તો થઈ ગયા ! બજાર કરવું હોય તો એક બજાર ઊભું કરવા જેવું ! એક બજાર, બે-ચાર બજાર હોય નહીં. કેટલા બજાર માથે લઈ લઈને ફર્યા કરીએ ? આ તો બધી કૉમનસેન્સની વાત. હા, તે ડ્રાઈવર મૂઆ કાઢી લે પેટ્રોલ. કહે, ‘પેટ્રોલ નાખવાનું છે, કાકા.’ કાકા કશું જાણે નહીં. આ શી પીડા ? તે પાછા સંજોગવશાત્ એવું કહીએ, કે ગાડી લાવો. ના એવુંયે નહીં, સંજોગવશાત્. પણ આ ખલેલ તો ના પેસવા દઈએ. ફ્રી ઑફ કૉસ્ટ ઉપર આપે તોયે ‘ના, બા, ખલેલ નહીં જોઈએ.’ તમારે સમજવાની જરૂર છે. મારી વાત તમારે બધાયે લેવાની જરૂર નહીં. પણ એટલી વસ્તુ સમજો કે આ શોખની વસ્તુ નહોય, આ ખલેલની વસ્તુ છે એટલું સમજો. એટલે એની ઉપર પ્રીતિ ભાવ ના કર્યા કરશો. હે ફોન ! તારા લીધે જ હું જીવું છું, એવું ના કરશો. આ ખલેલવાળું છે એવું જાણવાનું. ઊંઘમાં ખલેલ કરે. અમારી બે રૂમો છે ને, તે રાતે વસાઈ કે પછી કોઈ ખખડાવનાર કે ટકોરો મારનાર ના મળે. કો’ક ફેરો ટકોરો મારનાર આવે તેય દહાડે આવે, રાતે ના આવે. હું ગાડીમાં પડું જ નહીં ને પ્રશ્નકર્તા : દાદા, તમે કહ્યું, કે તમે પહેલા ગાડી રાખતા હતા, તો કઈ સાલમાં ? કઈ સાલમાં લાવેલા ? દાદાશ્રી : એ ’૪૬ની સાલમાં. (પા.૧૨) પ્રશ્નકર્તા : એ કાન્તિકાકા (દાદાના ભાગીદાર) ચલાવતા’તા ? દાદાશ્રી : એ જાતે. રોફ મારવા માટે તે ગાડી લઈ આવેલ. પ્રશ્નકર્તા : તમે નહોતી ચલાવી કોઈ દહાડો ? દાદાશ્રી : મને તો આવડે જ નહીં ને ! હું પડું જ નહીં ને, એમાં. મને તો આ આત્માની બાબત આવડે, બીજી કશી આવડે જ નહીં. પ્રશ્નકર્તા : એ જ ખરું છે ને ! દાદાશ્રી : અને એય મને ના કહે બિચારા, કે ‘તમે આમાં પડશો નહીં, તમારું કામ નહીં. આ હાર્ડ લેબર અને હાર્ડ ભેજું હોય તેનું કામ છે. તમારું હાર્ડ લેબરેય નહીં ને હાર્ડ ભેજુંય નહીં. તમારું કુમળું હૃદય, કુમળું મગજ.’ અમારે તો અમારા ભાગીદારની રેખા બહુ જ સારી હતી, તે ગાડી વગર ફરે જ નહીં. અમારે તો એવી રેખા-બેખા મળે જ નહીં. પણ તેમની રેખાથી ગાડી આવે ને અમનેય ફરવાનું મળે. આવશ્યક ને અનાવશ્યકની ભેદરેખા આખી જિંદગી ગઈ છતાં (ધંધાના કામકાજ માટે) નવી ગાડી લાવેલા જ નહીં, સેકન્ડ હેન્ડ (વપરાયેલી) ગાડી લાવેલા, પૈસા હોય છતાંય. અને નાનપણથી કોન્ટ્રાક્ટનો ધંધો એટલે ઘડિયાળ લાવવાના પૈસા હતા, રેડિયો લાવવાના પૈસા હતા, પણ ઘડિયાળ લાવ્યો નહીં, જિંદગીમાં. અને નથી મારી જિંદગીમાં રેડિયો જોયો. કારણ કે મારે જરૂર નહોતી એટલે. પૈસા તો હતા, પણ રેડિયાની મારે જરૂર નહોતી. હાથમાં લાખો રૂપિયા આવ્યા છતાંય કશું લાવ્યો નથી. એક ચાર આનાયે મેં ખોટો ખર્ચ કર્યો નથી. ખોટો ખર્ચ થાય નહીં, બિનજરૂરિયાત. આવશ્યક ચીજનો ખર્ચ હોય. કેવો ? પ્રશ્નકર્તા : આવશ્યક. દાદાશ્રી : આવશ્યક ચીજ. આવશ્યક વસ્તુ ને અનાવશ્યક વસ્તુ, એની ભેદરેખા જાણવી જોઈએ. ઑફિસર તરીકે એના માનમરતબાના હિસાબે જોઈએ, કપડાં-બપડાં બધું જ જોઈએ, ઘડિયાળેય જોઈએ, પણ અનાવશ્યક વસ્તુઓ બહુ ભેગી કરી છે. આવશ્યક તો ઠીક છે, કે જરૂરિયાત પૂરતું. નેસેસિટી (જરૂરી), મોસ્ટ નેસેસિટી (વધારે જરૂરી) કહેવામાં આવે છે. કેવું ? આવશ્યક શબ્દ સમજ્યા તમે ? પ્રશ્નકર્તા : હા, સમજ્યા. દાદાશ્રી : એટલી ચીજનો જ ખર્ચો. બીજો તો મોહ છે બધો. હા, આવશ્યક ચીજની જરૂર છે. એક તો જમવાનું. તે ફૂડ (ખોરાક) કેવો હોવો જોઈએ પાછો ? શરીરને પોષણ થાય એવો, પોષક દ્રવ્યવાળો. પછી કપડાં જોઈએ. ઓરડી પડી રહેવાની જોઈએ અને ઈસ્ત્રી (સ્ત્રી) જોઈએ. પેલી કપડાંની ઈસ્ત્રી નહીં, લગ્નની, મેરેજ (લગ્ન) કરેલી હોવી જોઈએ. આ બધું જોઈએ. એ આવશ્યક છે. બાવો કો’ક હોય, તેણે ગયા અવતારે ભાવ કર્યા હોય કે મારે બ્રહ્મચર્ય જ પાળવું છે, તો એને સ્ત્રી ના હોય. એણે ભાવ નક્કી કર્યો હોય, તેવી ચાલે દુકાન. એને બીજી જરૂર જ ક્યાં હોય છે ? ભૌતિકવાળાની નકલ કરી, શુંય માને ! લોકોને તો પોતાના સંપૂર્ણ હિતની ખબર જ નથી. આમને તો શારીરિક હિતની ખબર છે, ભૌતિક હિતની ખબર છે, પણ આધ્યાત્મિક હિતની એમને ખબર નથી. એટલે ભૌતિકનું જ કાર્ય કરે છે ! નવું પેન્ટ પહેરીને અરીસામાં જો જો કર્યા (પા.૧૩) કરે. ‘અલ્યા, અરીસામાં શું જુએ છે ?’ આ કોની નકલ કરે છે એ તો જુઓ ! અધ્યાત્મવાળાની નકલ કરી કે ભૌતિકવાળાની નકલ કરી ? જો ભૌતિકવાળાની નકલ કરવી હોય તો આ પેલા આફ્રિકાના છે, એમની કેમ નથી કરતા ? પણ આ તો સાહેબ જેવા લાગીએ, એટલે નકલો કરી. પણ તારામાં બરકત તો છે નહીં ! શાનો ‘સાહેબ’ થવા ફરે છે ? પણ સાહેબ થવા માટે આમ અરીસામાં જુએ, પટીયા પાડ પાડ કરે. ને પોતે માને કે હવે ઓલરાઈટ (બરાબર) થઈ ગયો છું. પાછો પાટલૂન પહેરીને આમ પાછળ થબોકા માર માર કરે. અલ્યા, શું કામ વગર કામનો માર માર કરે છે ? કોઈ બાપોય જોનાર નથી. સહુ સહુના કામમાં પડ્યા છે, સહુ સહુની ચિંતામાં પડ્યા છે. તને જોવા નવરુંય કોણ છે ? સહુ સહુની માથાકૂટમાં પડ્યા છે. પણ પોતાની જાતને શુંય માની બેઠો છે ! મનમાં માને કે આ ત્રણસો રૂપિયે વારનું કપડું છે, એટલે લોક મારી કિંમત કરશે. પણ આ તો કોઈ જોવા જ નવરું નથી ને ! પણ તોય મનમાં ફૂલાયા કરે. અને સહેજ ઘેરથી બહાર જવાનું થાય ને, તો પાટલૂન બદલ્યા કરે. ‘એય બીજું પાટલૂન લાવો !’ પાછો કહેશે, ‘આ નહીં, ટેરેલીનનું પાટલૂન લાવો.’ આ લોક કંઈ જેવા તેવા હોય છે ! અલ્યા, શું ધાર્યું છે તે આ ? તને જોવા માટે કોઈ બાપોય નવરો નથી. શું તારું જોવાનું છે તે ? પણ તોય સારું પાટલૂન પહેરીને મનમાં શુંય માન્યા કરે ! આવું છે આ જગત ! આ કાળની વાતો તો છે ને, મેં એવો એક પણ માણસ જોયો નથી કે જેની વાત કરેક્ટ હોય. અર્ધ ગાંડા જેવા, હાફ મેન્ટલ લોકો છે. એટલે પહેલા એકવાર તો આમની વાતને ઉતરવા જ ના દેવી, પહેલા તપાસ કરવી. નહીં તો જો ઉતરવા દે ને, તો આપણને ઈફેક્ટ થાય એટલે આ અર્ધ ગાંડા જેવો કાળ છે ! અંતર સુખનું બેલેન્સ ના તોડશો જગત આખું ‘અન્નેસેસરી’ (બિનજરૂરી) પરિગ્રહના સાગરમાં ડૂબી ગયું છે ‘નેસેસરી’ને ભગવાન પરિગ્રહ કહેતા નથી. માટે દરેકે પોતાની ‘નેસેસિટી’ કેટલી છે એ નક્કી કરી લેવું જોઈએ. આ દેહને મુખ્ય શેની જરૂર છે ? મુખ્ય તો હવાની. તે તેને ક્ષણે ક્ષણે ફ્રી ઑફ કોસ્ટ (મફત) મળ્યા જ કરે છે. બીજું, પાણીની જરૂર છે. એ પણ એને ફ્રી ઑફ કોસ્ટ મળ્યા જ કરે છે. પછી જરૂરિયાત ખાવાની છે. ભૂખ લાગે છે એટલે શું કે ફાયર (અગ્નિ) થયો, માટે એને હોલવો. આ ‘ફાયર’ને હોલવવા માટે શું જોઈએ ? ત્યારે આ લોકો કહે કે, ‘શ્રીખંડ, બાસુંદી !’ ના અલ્યા, જે હોય તે નાખી દે ને મહીં. ખીચડી-કઢી નાખી હોય તોય એ હોલવાય. પછી સેકન્ડરી સ્ટેજ (બીજા તબક્કા)ની જરૂરિયાતમાં પહેરવાનું, પડી રહેવાનું એ છે. જીવવા માટે કંઈ માનની જરૂર છે ? આ તો માનને ખોળે છે ને મૂર્ચ્છિત થઈને ફરે છે. આ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જાણવું જોઈએ ને ? એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. અલ્યા, કંટાળી ગયો ? તો કહે, ‘હા, અમારે તો સાદું જ પાણી જોઈએ.’ આવું જો થાય ને, તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા ખોળે છે ! અલ્યા, તારે શેની જરૂરિયાત છે એ જાણી લે ને ! ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી ને રાત્રે ખીચડી મળી ગઈ તો આ દેહ બૂમ પાડે ? ના પાડે. એટલે જરૂરિયાત શું છે એટલું નક્કી કરી લો. ત્યારે આ લોક અમુક જ પ્રકારનો આઈસ્ક્રીમ ખોળશે ! કબીર સાહેબ શું કહે છે ? ‘‘તેરા વેરી કોઈ નહીં, તેરા વેરી ફેલ.’’ ‘અન્નેસેસરી’ માટે ખોટી દોડાદોડ કરે છે એ જ ‘ફેલ’ કહેવાય. તું હિન્દુસ્તાનમાં રહે છે (પા.૧૪) ને નહાવા માટે પાણી માંગે તો અમે તેને ‘ફેલ’ ના કહીએ ? ‘‘અપને ફેલ મિટા દે, ફિર ગલી ગલી મેં ફિર.’’ આ દેહની જરૂરિયાત કેટલી ? ચોખ્ખું ઘી-દૂધ જોઈએ ત્યારે એ ચોખ્ખું નથી આપતા ને પેટમાં કચરો નાખે છે. એ ફેલ શું કામના ? આ માથામાં શું નાખે છે, બળ્યું ? શેમ્પુ, સાબુ જેવું ના દેખાય ને પાણી જેવું દેખાય એવું માથામાં ઘાલશે. આ અક્કલના ઈસ્કોતરાઓએ એવી શોધખોળ કરી કે જે ફેલ નહોતા એય ફેલ થઈ ગયા ! આનાથી અંતર સુખ ઘટી ગયું ! ભગવાને શું કહ્યું હતું કે બાહ્ય સુખ અને અંતર સુખની વચ્ચે પાંચ-દશ ટકાનો ફેર હશે તો ચાલશે, પણ આ નેવું ટકાનો ફેર હોય તો તે ના ચાલે. આવડો મોટો થયા પછી એ ફેલ થાય ! મરવું પડે ? પણ એમ નથી મરાતું ને સહન કરવું પડે. આ તો નર્યા ફેલ જ છે, ‘અન્નેસેસરી’ જરૂરિયાત ઊભી કરી છે. એક કલાક બજાર બંધ થઈ ગયું હોય તો લોકોને ચિંતા થઈ જાય ! અલ્યા, તારે શું જોઈએ છે તે તને ચિંતા થાય છે ? તો કહે, ‘મારે જરા આઈસ્ક્રીમ જોઈએ છે, સિગરેટ જોઈએ છે !’ આ તો ફેલ જ વધાર્યો ને ! આ અંદર સુખ નથી તેથી લોક બહાર ડાફોળિયા મારે છે. મહીં અંતર સુખની જે સિલક હતી તેય આજે જતી રહી છે. અંતર સુખનું બેલેન્સ ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખી તો પછી અંતર સુખનું બેલેન્સ જ શી રીતે રહે ? નકલ કરીને જીવવું સારું કે અસલ ? આ છોકરાંઓ એકબીજાની નકલ કરે છે. પ્રશ્નકર્તા : દાદા, તમે એમ કહો છો કે માણસે એની પોતાની જરૂરિયાતો એટલી બધી ઘટાડવી જોઈએ, જેથી એ શાંતિથી જીવી શકે ? દાદાશ્રી : એવું છે ને, નેસેસિટી મનુષ્યને શું છે ? જેને આવશ્યક કહેવાય છે. આવશ્યક એટલે અવશ્ય જરૂરિયાત જ છે. કોઈ ના પાડી શકે નહીં. એ નક્કી કરવું જોઈએ. અને એનાથી વધારાનું અમથું લોકોને દેખાડવા માટે કે એ અમથું પોતાના વટ માટે લાવીએ, પણ એ બિનજરૂરી હોય છે. એટલે જરૂરિયાત એ જ દુઃખદાયી છે એવું મને પહેલેથી સમજાઈ ગયેલું. પરિગ્રહ એ જ બોજો છે ને એ જ દુઃખદાયી છે, એવું સમજાઈ ગયેલું એટલે એ બધુંય દુઃખદાયી લાગે. સ્પર્ધા નહીં, અમારું જુદું જ કેલ્ક્યુલેશન આ હિન્દુસ્તાનમાં દુઃખ હોય જ નહીં, પણ બળ્યા અણસમજણથી જ દુઃખ છે આ બધા. ખરેખર દુઃખ જ નથી, દુઃખ જેવી વસ્તુ જ નથી. આ જે દુઃખો છે તે બધા ઈન્વાઈટેડ દુઃખો છે અને કલ્પિત દુઃખો છે. લોક સ્પર્ધામાં પડ્યા. આના કરતા હું સારો દેખાઉ, આના કરતા હું સારો દેખાઉ. કોઈ દેખાયો નહીં. આ ઈન્વાઈટેડ (આમંત્રેલા) દુઃખો છે આ મનુષ્યોને, એવું તમને સમજાય છે ? પ્રશ્નકર્તા : સમજાય છે. દાદાશ્રી : ત્યારે ઈન્વાઈટેડ દુઃખ મેં ઊભું જ નથી કર્યું. મારું કેલ્ક્યુલેશન દુનિયાથી ઊંધું હતું. મુંબઈમાં આમ બે રૂમ હોય ને, તે કાયમ ઝંખના કર્યા કરે કે ત્રણ હોત તો સારું ફાવત. ઝંખના શું કર્યા કરે ? બે રૂમવાળો ત્રણ રૂમની અને ત્રણ રૂમવાળાને પૂછીએ, ત્યારે ચાર રૂમની વાત કરતો હોય, ચાર રૂમવાળો પાંચ રૂમની વાત કરતો હોય, પાંચ રૂમવાળો છ રૂમ લેવી કહેતો હોય. પાંચ રૂમવાળો કહે છે, એક રૂમ ખૂટે છે મારે. છ રૂમવાળો સાત રૂમની, સાત રૂમવાળો આઠ રૂમની. મેં કોઈ એવો માણસ ના જોયો કે જે એમ કહે (પા.૧૫) કે મારે કશું ના જોઈએ. બધાને અંદર ખૂંચ્યા જ કરતું હોય. ભઈ ના બોલે તો બઈ બોલી ઊઠે, કે એક રૂમ ખૂટે છે. ત્રણ બેડરૂમ તો જોઈએ અમારે ત્યાં, મોટા માણસ છીએ. ત્યારે હું શું જોતો’તો, કે બે રૂમ હોય ને, તો એક રૂમવાળાની દશા જોઈ આવતો’તો, કે આ બિચારો શી રીતે રહેતો હશે ? એના કરતા આપણું કેટલું સરસ છે ! બીજાનું જોઈને પોતે કશું ન કરતા હોય તો સુખ જ છે બધું. બીજાનું જોઈને ચાલે એવા લોકો છે મહીં થોડા ઘણા ? પ્રશ્નકર્તા : બધા એવા જ છે. એ તો બધું બરાબર. દાદાશ્રી : બીજાનું જોઈને હું એક સેકન્ડ પણ નથી ચાલ્યો, આખી જિંદગી જ નથી ચાલ્યો. મૂઆ, એ તડબૂચા ગમે તે કરે, આપણે શું લેવાદેવા ? આપણે આપણી લાઈન દોરેલી હોય એ કરેક્ટ (સાચી) છે. આપણે લોકોની નકલ કરવા આવ્યા છીએ અહીં ? આપણે તો અસલ લઈને આવેલા છીએ, નકલ-બકલ કરવા આવેલા નથી. અમારી નકલ કરે તો કામની હું તો કોઈ દહાડો કોઈનું જોઈને નકલ કરું જ નહીં ને ! હું જાણું કે આપણે કરાર કરીને આવ્યા છીએ, જે હોય એ કરેક્ટ. મેં મારી આખીય જિંદગીમાં કોઈનીય નકલ કરી જ નથી. કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ બાબતમાં મેં ક્યારેય પણ કોઈની કોઈ દહાડો નકલ જ નથી કરી. એ કૂવામાં પડે, પણ આપણે કૂવામાં પડીને શું કામ છે ? અગર એ ડુંગર પર ચડે, હિમાલય પર ચડે, એની શક્તિ હોય તો. આપણી શક્તિ ન હોય ને હિમાલય પર ચઢીએ તો માંદા પડીએ. લોકોનું જોઈને ના કરીશ. મૂઆ, નકલ તો કરીશ જ નહીં. આ જગતમાં કોઈનીય નકલ કરીશ નહીં. લોકો જ નકલી છે, તો તું નકલીની નકલ ના કરીશ. કોઈ અસલ હોય, એની જો નકલ કરે તો વાત કામની છે. અમે અસલ કહેવાઈએ. અમારો એક-એક શબ્દ અસલ કહેવાય. અમારી વાત અસલ કહેવાય. અસલની નકલ કરીએ તો કામનું ! આ તો લોકો જ નકલી છે. હવે આ નકલીની નકલ શું કરવાની તે ? લોકો નકલી છે, નથી લાગતું એવું ? નકલીની નકલ કરીશ તો ફસાઈ જઈશ. એણે બંગલો બંધાવ્યો છે ને આપણેય બંધાવો. અલ્યા મૂઆ, એના બંગલાને આપણે શું કરવો છે ? આપણે આપણી અત્યારે આજની જરૂરિયાત છે, નેસેસિટી છે તે પૂરી થાય છે. અત્યારે સંતોષ છે ઘરમાં, તે ઊલટાનો બંગલો જોવાથી અસંતોષ થયો. એનો બંગલો જોઈ આવ્યા. અને આપણા લોકેય એવા છે. ઉદ્ઘાટન કરીને બંગલો દેખાડે છે બધાને. એટલે પેલા મૂઆને ના જોયું હોય તોય પાછું જાગે અંદરથી. તે ઉદ્ઘાટન કરે, પાછા આમનું જગાડે છે. નકલ કરવી હોય તો લોકની ક્યાં કરે છે ? કર ને ભેંસની ! એને છે જરીય ચિંતા, કપડાં-બપડાં છે કશુંય ? એ અસલી છે. આ તો બસમાં જવા ઉતાવળ, ઓફિસમાં ઉતાવળ અને ઘેર પાછો આવવામાં ઉતાવળ ! આ તો બંધનમાં છે, તોય ઉતાવળ ! ઓફિસે બંધન છે, તે ત્યાં જવાય ઉતાવળ ! આ ભેંસો કેવી છે કે જ્યાં બંધન હોય ત્યાં ધીમે ધીમે જાય. એટલે નાનપણથી મારો સ્વભાવ જ એવો કે નકલ કોઈની કરવી નહીં. સારું હોય કે ખોટું હોય, પોતાનું જ હોવું જોઈએ. ભલે હું બેકવર્ડ જતો રહ્યો હોઈશ, પણ મારા પોતાના ઉપર જ રહ્યો છું. સંસારમાં ના આવડ્યું તોય કંઈ વાંધો નહીં, આ (પા.૧૬) તો આવડ્યું ને ! સંસારમાં ના આવડ્યું, પણ આ તો આવડ્યું જ ને ! સંસારને શું કરવાનો છે ? પ્રશ્નકર્તા : આ તો બધાને ના આવડે ને ! આ આવડવું મુશ્કેલ છે. દાદાશ્રી : આ આવડવું મુશ્કેલ છે. એટલે હું તો આવું જ ખોળતો હતો. હિતાહિતનું ભાન તો પોતાને સ્વતંત્ર હોવું જોઈએ. હું શું કરું તો સુખી અને શું કરું તો દુઃખી ? સત્યુગમાં લોકોને વ્યવહારના હિતાહિતનું ભાન હતું. ત્યાં આગળ અનાચાર નહોતા, પોતે સદાચારી હતા. તે હિતાહિતનું ભાન ઉત્પન્ન હતું. અત્યારે તો બધે જ અનાચાર છે, ત્યાં ક્યાંથી હિતાહિતનું ભાન ઉત્પન્ન થાય ? મનોરંજન માણવાવાળા બે જાતના દર્દી પ્રશ્નકર્તા : આજકાલમાં જોઈએ આપણે તો તમે જે દેશોમાં ફરીને આવ્યા ત્યાં અશાંતિ કેમ ઉત્પન્ન કરવી એ જ જાણે ધ્યેય હોય એમનો, એનું વર્તન આખું એવું દેખાય. ટી.વી. જોઈએ, રેડિયો જોઈએ, આ જોઈએ, બીજી બધી સવલતો જોઈએ, કાર જોઈએ. એટલે એને જંપ ક્યારે વળશે ? આ બધું જ ભેગું કરે. ભૌતિક વસ્તુઓ બધી જોઈએ. દાદાશ્રી : એવું છે ને, બે જાતના દર્દી; એક છે તે અહંકારના દર્દી. એટલે પોતાનું માન દેખાડવા માટે રેડિયો જોઈએ ને ફલાણું જોઈએ, અને એકને રેડિયો સાંભળે નહીં તો એને ચેન ના પડે રાતે. એ એવા દર્દી કે જેને એ વગર ચેન ના પડે. નાટક(સિનેમા)નું એક ગાયન-બાયન ગાય ત્યાર પછી એને મસ્તીમાં ઊંઘ આવે, નહીં તો બધું કૈડે. એટલે આ દર્દ છે બે પ્રકારના. આ જોઈએ, તે જોઈએ તે. એમાં ખાસ કરીને માનના દર્દ વધારે છે આપણે ત્યાં. અને પછી છે તે લપેટાઈ જાય છે, લેપાયમાન થઈ જાય છે. માનના દર્દમાંથી લેપાયમાનપણું ઊભું થઈ ગયું. હવે હું તો જાણું કે આ બધું હિતકારી જ ન હોય. તો આની આપણે ભાંજગડ જ શું તે ? એટલે મેં તો ભજના જ નથી કરી એની. સગવડો બનાવે શાતાશીલિયા વાતને સમજવાની છે, આમાં બીજી કશી ભાંજગડ કામ જ ના લાગે ને ? આપણે તો ઉપાધિ ઓછી કરવી જેમ બને તેમ. આ તો પંખાનો મારી જાત ઉપર અનુભવ લીધેલો છે કે મારે શું થાય છે ? કે પહેલા પંખો રાખતો નહીં. છપ્પન સુધી તિતિક્ષા નામનો ગુણ કેળવેલો. એક શેતરંજી ઉપર સૂઈ રહેતો હતો કાયમ અને પંખો રાખતો નહીં. તે બધા મિત્રમંડળ આવે, તે કહે કે ‘તમે પંખો ના રાખો, કારણ કે તમે તો તપસ્વી પુરુષ છો, પણ અમારું શું થાય ?’ ત્યારે મેં કહ્યું, ‘ગોઠવો.’ એ ગોઠવવાથી પછી આ શાતાશીલિયું થયું શરીર. એક ખેડૂત માણસ રોજ જોડા પહેરે, તો પછી જોડા ના હોય તે ઘડીએ દઝાય એ માણસ. નહીં તો શરીર દઝાય નહીં એવું થઈ જાય. એટલે હવે શાતાશીલિયા થયા તો પરવશ થવું પડે. જ્યારે પંખો ના હોય તો પરવશ થવું પડે. અને મારે ઉપયોગ બહાર રાખવો એ મુશ્કેલી પડે. આ થયું શું તે મારી વાત હું કરું છું. એટલે આ વાતને તમે સમજજો. પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી, એવું માનજો. એટલે આપણા મહાત્માઓને એ અનુભવ હિતકારી નથી. બહારના લોકોને તો આપણાથી કહેવાય નહીં. બહારના લોકો બાહ્ય સુખ ખોળે છે અને તમે આંતરિક સુખ ખોળો છો, સનાતન સુખને ખોળો છો. એટલે આ તો મારા અનુભવની વાત કરી. પ્રશ્નકર્તા : પંખો એકલો કેમ, ઘણી વસ્તુઓ હિતકારી નથી. (પા.૧૭) દાદાશ્રી : બીજી વસ્તુઓ જોવાની નથી. આ પંખો એકલો વધારે છે તે. બીજી વસ્તુમાં તો તમને ડિરેક્ટ સ્પર્શ નથી કરતો. આ એકલું ડિરેક્ટ સ્પર્શ કરે છે. બીજાનો વાંધો નહીં. બીજું તો ઘરના માણસો ફ્રિજ લાવે, તેમાં આપણને શું નુકસાન ? એ કહેશે, ‘આ બરફનું પાણી પીઓ.’ તો એ આપણે ના પીવું હોય તો ના કહી દઈએ. ઘરના માણસો રેડિયો, ફોન વાપરતા હોય, તેમાં આપણે શું લેવાદેવા ? કકળાટ થાય તો એમને થાય, આપણે શું લેવાદેવા ? આ પંખો એકલું પોતાને સ્પર્શ કરે એવી વસ્તુ છે. જેને કંઈ બાહ્ય ઉપાધિની જરૂર હોતી નથી અને છતાં કરે તોય આપણે વાંધોય નથી. આપણો માર્ગ કેવો છે કે વાંધા વગરનો માર્ગ છે. એ તો જ્યાં માને છે ત્યાં જ છે અને એ કહેશે, ‘અમારાથી પવન વગર રહેવાતું નથી.’ આપણે કહીએ, ‘બરોબર, એમ જ હોય.’ ‘બને તો પંખો લાવજો,’ એમ કહીએ આપણે. જેને જે ખપે, તેને તે વસ્તુની જરૂરિયાત છે. પ્રશ્નકર્તા : શાતાશીલિયા નહીં થવાનું, એવું કહ્યું આપે ? દાદાશ્રી : બહારની સગવડોને લઈને શાતાશીલિયા થઈ જાય છે માણસ. પછી સગવડ નથી હોતી ત્યારે ઉપાધિ કરે છે. આ શરીરને તો જેવું તમે રાખો ને તેવું રહેવા તૈયાર થઈ જાય. નેસેસિટી નથી, આ તો જાણીને ટેવ પાડી આપણે. ઊંધી ટેવ પાડી પંખાની. તે ઊલટો હું ટાઢો થઈ ગયો, ત્યાર પછી ! આ તે કંઈ રીત છે ? અને અમદાવાદ જઈએ છે ત્યારે એર કંડિશન (AC) કરે. કહેશે, ‘દાદાજી, મારે ત્યાં ઉતરવાના છે.’ એ લોકો એર કંડિશન કરી નાખે. એને ખબર નથી કે એર કંડિશનની મારે જરૂર નથી. મારે તો એવું એર કંડિશન જોઈએ છે કે તારે ઘેર એર કંડિશન હોય પણ પાછું સત્સંગમાં જતી વખતે ત્યાં સુધી એર કંડિશન હોય ને, એવું જોઈએ છે. ત્યારે એ તો બહાર નીકળ્યા એટલે પાછું ધખધખતું... આપણે ઠંડામાંથી બહાર નીકળીએ તો શું થાય બહાર ? ધખધખતું અંગારા જેવું લાગે. તે આ શું ? તેથી ભગવાને કહેલું કે શાતાશીલિયા ના થશો. આને શાતાશીલિયા કહેવાય. કંઈક તો આ શરીરને કેળવવું જોઈએ ને ! બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાનું કહ્યું છે. તે તો હું ના પાડું છું, તમને કહેતો નથી. એ કહું તો તમે બધાય ગભરાઈ જાવ, એના કરતાં ના કહું એ સારું છે. બાહ્ય સુખનો સમભાવે નિકાલ ત્યાં અંતર સુખ પ્રશ્નકર્તા : પણ દાદા, આ શરીર બાહ્ય સુખ ખોળે છે ને ? દાદાશ્રી : પણ સુખ આપણે ખોળવાનું ના હોય. આપણને અંદરનું સુખ મળ્યું છે. અંદરનું ના મળ્યું તે તો બહારનું ખોળે. અંદરનું મળ્યું હોય, તેને આ બહારનું ના હોય તો ચાલે કે ના ચાલે ? અંદરનું ના મળ્યું હોય, તેને અમારું કહેવાનું નથી. ના મળ્યું તે શું કરે ? પણ અહીં તો ફાંફાં મારતો જ હોય બહાર. આમ કેટલાક તો રાહ જુએ, ‘એ પવન આવ્યો, હંઅ... એ આવ્યો, આવ્યો, આવ્યો.’ જો જતો ના રહેવાનો હોય, તો ભોગવી લે, પણ ‘એ ગયો’ કહેશે ! આ જાતનું પરવશપણું માણસમાં રહે. જો આ ભગવાને બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાના કહ્યા છે. લખ્યું છે કે નથી લખ્યું ? પ્રશ્નકર્તા : હા, પરિષહ વેઠવાનું કીધું છે. દાદાશ્રી : હા. તે તો હું તમને કહેતો જ નથી. ફક્ત તમારે તો આટલું જ, આવું જરાક (પા.૧૮) હોય તો તમારો ઉપયોગ અંદર રહેશે. નહીં તો ઉપયોગ પછી બહારનો બહાર જ ભમ્યા કરશે. જરાક બફારો થયો એટલે ઉપયોગ બહારનો બહાર રહ્યા કરે. છતાં પંખો એની મેળે ચાલતો જ હોય ને, એને બંધ ના કરશો. હોય તો સમભાવે નિકાલ કરી નાખજો, પણ ‘આમાં સુખ છે’ એવું માનશો નહીં. ‘એમાં સુખ છે’ એવું માન્યું એટલે ‘પેલામાં દુઃખ છે’ એવું માન્યું. એટલે ઉપયોગ બીજી જગ્યાએ ફર્યા કરે. એર કંડિશનમાંથી બહાર નીકળેલા માણસની શું સ્થિતિ હશે, એ કહો. આ તો કોણે પંખા-બંખાની શોધખોળ કરેલી ? આ તો ફોરેનવાળાએ. શી રીતે ? એ એમને માટેની શોધખોળો, આપણે ત્યાં એ પેસી ગઈ. નહીં તો આપણે ત્યાં તો રાજાને ત્યાં પંખા હોય. બીજે બધે તો અમથા પંખા હોય સાધારણ, તેય શેઠિયો હોય તો. નહીં તો કામ કરતો હોય આખો દહાડો, તો શેનો પંખો જોઈએ ? અને કુદરત તો બધી રીતે તમને હેલ્પ કરી રહી જ છે. જ્યારે પવનની જરૂર હોય તો ધીમો પવનેય આવે છે, બીજી બધી હેલ્પ (મદદ) કરે અને પસીનો જેટલો નીકળવો જોઈએ એટલો નીકળવા દે. પછી અકુદરતી જીવન જીવીએ, તેનો શો અર્થ છે ? પંખો હોય એને પા-અડધો કલાક બંધ કરી અને ઉપયોગમાં રહી જુઓ જોઈએ, તો તમને પંખાની જરૂર ના પડે. ઉપયોગમાં રહેતો હોય, તેને પંખાની જરૂર જ ના પડે. આ પંખાની જરૂર બાહ્ય જ્યાં સુધી હોય ને ત્યાં સુધી. અને તેમ છતાંય આપણે ના નથી કહેતા. એને ભલે તારું બાહ્ય હોય ને તોય તું બાહ્યમાં, ‘હું આત્મા છું’ એવું ભાન રહેશે તો બહુ થઈ ગયું. તોય વાંધો નથી, પણ થોડું આગળ વધવામાં વાંધો શો ? વાંધો ખરો ? બાહ્ય સુખ બાદ થતા મૂળ જગ્યાએ અવાય પ્રશ્નકર્તા : ઘરની અંદર જે કંઈ વસ્તુઓ હોય છે, એ જ્યારે ખોટકાઈ જાય છે, ત્યારે આખો જીવ એમાં જતો રહે. મારી વાત કરું કે સિત્તેર વર્ષ સુધી ફ્રિજની ખબરેય ન હતી. પછી ફ્રિજ આવ્યું, તે એક દહાડો બગડ્યું એટલે આખું ઘર ઊંચું-નીચું કરી નાખ્યું. દાદાશ્રી : હા, એ એવું જ હોય. આ બધી આફત છે. ઉપાધિ વસ્તુ જુદી છે ને આફત વસ્તુ જુદી છે. ઉપાધિ તો વળગેલી હોય અને આફત તો વળગાડેલી હોય. તમને થાય એ સ્વાભાવિક છે, એ તો બધી આફતો છે. જ્ઞાન ન હતું અને હીરાબા કહે, ‘પેલો નળ બગડ્યો છે,’ એ ઉપાધિ મારે. પછી (પ્લમ્બરને) બોલાવા જવાનું, તેડી લાવવાનું, એ ઉપાધિ. એ જરૂરિયાતની વસ્તુ હોય ને ? પણ આ તો બિનજરૂરિયાત આફતો ! ટી.વી. લાવે ને ફલાણું લાવે ને કંઈ ઓછું લાવે છે લોકો ? આંખો જાય અને પાછું આફત. પ્રશ્નકર્તા : આ ટી.વી. ખરે ટાઈમે બગડી ગયું, એટલે આજુબાજુવાળા બધાય ‘ટી.વી. નથી ચાલતું ?’ ટી.વી. નથી ચાલતું, તો આત્મા-બાત્મા બધું એમાં. દાદાશ્રી : હા, બધું એમાં. હવે છતાંય આપણાથી એને તિરસ્કાર તો હોવો જ ના જોઈએ ને ? કારણ કે એ બીજાને ફાવતું હોય, એ ગમે તે કરે. આપણા ઘરનો છોકરો જ ગમે તે કરતો હોય, આપણાથી ના કહેવાય ? ના કહેશો તો તમને દ્વેષ થશે. અને જ્યારે ઉપયોગમાં હોય ત્યારે કશું રહેતું નથી. ઉપયોગમાં હોઈએ ને, ત્યારે ખ્યાલેય ના રહે કે આ ગરમી છે કે ઠંડી છે એવું કશુંય (પા.૧૯) નહીં. હમણે છોકરો પરીક્ષામાં પેપર લખતો હોય ને અને પંખા બંધ થઈ ગયા હોય તો એને ખબરેય ના હોય. વકીલોનું જે કામકાજ ચાલતું હોય અને જજ બરોબર સાંભળતા હોય, તે ઘડીએ પંખા બંધ થઈ ગયા ને ખબરેય ના પડે. આ તો નવરો પડ્યો કે ખબર પડી. એને ‘બાહ્ય ઉપયોગ’ કહે છે. ભટક ભટક ભટક કર્યા કરે. છતાંય હું તો કહું કે કશો વાંધો નહીં. આટલુંય કંઈક કરજો. આ આપણી પાંચ આજ્ઞા છે ને, તે ઉપાધિ જ રાખે એવી નથી. એમાં કશું ઉપાધિવાળું છે જ નહીં. પાંચ આજ્ઞામાં રહે છે ને ? પંખા ફેરવજો પણ પાંચ આજ્ઞામાં રહેજો. પણ આ જાણી રાખજો કે આ વસ્તુ ભૂલવાળી છે. હુંય કંઈ નથી ફેરવતો એવું નથી. હુંયે ફેરવું આ. હવે એમાંથી થોડી થોડી બાદ કરતા કરતા પછી મૂળ જગ્યાએ અવાય. હવે આ બૂટ પહેરીને ફરીએ અને પછી એક દિવસે કોઈ ફેરો બૂટ રસ્તામાં કો’ક બહારવટિયાએ લઈ લીધા અને પછી એ તડકામાં ફરવાનું થાય. પેલા રોડ, રેતી ઉપર તો શી દશા થાય ? હવે ખેડૂતોના જે પગ છે ને, તે ફીટ થઈ જાય છે. એને તો કશું થાયેય નહીં ને જરૂર નહીં. કુદરતનો નિયમ છે કે જેને જેટલું જે જોઈએ ને, તે ફીટ જ થઈ જાય. તો પછી આપણે એ નિયમનો કેમ લાભ ન ઉઠાવવો ? કુદરતનો નિયમ જ છે એવો. કારણ કે તમે સ્વતંત્ર છો. કુદરત તમારે આધીન છે. તમે કુદરતના રાઈટ (અધિકાર) બગાડો છો. મારી સંપૂર્ણ સ્વતંત્રતા મેં જોયેલી છે, અનુભવેલી છે. ત્યાર પછી મને જ્ઞાન થયું છે. મનને મનોરંજન તો તપમાં ખંડન જગત શું કરી રહ્યું છે, કે પોતાનું દુઃખ કાઢવા માટે બીજા વિષયમાં પડે. એટલે એ દુઃખ આમથી આમ ફેરવે જગત એ જ કરી રહ્યું છે ને ! જરાક દુઃખ પડે કે વટાવ વટાવ કરે છે ને ! મહીં કેટલો સામાન ભરેલો છે ! આપણે તો એને કહીએ છીએ કે આને (દુઃખને) ભોગવો જ. વટાવી નહીં ખાવાનું ! સિલક એમ ને એમ અનામત રાખવાની. આ છોકરાંઓને હું પૂછું, ‘અલ્યા, મહીં ઉપાધિ-ચિંતા થાય ત્યારે શું કરો ?’ ત્યારે કહે, ‘વખત કાઢી નાંખીએ સિનેમા-બિનેમામાં જઈને.’ એટલે વટાઈ ખાય. જ્યારે તપ કરવાનો વખત આવ્યો ત્યારે સિનેમામાં જઈને મોજ કરી આવે. એટલે સોની નોટ બે રૂપિયામાં આપી દીધી. આપણે તો સોની નોટ હજારની થાય એવું કરવું જોઈએ. એટલે એવું થાય તે ઘડીએ એ બેઠેલા બધાની અંદર શુદ્ધાત્મા જોવા. બીજું જોવું, ત્રીજું જોવું અગર તો આપણા ઘરના સગાવહાલાના પ્રતિક્રમણ કરવા. આપણા આજુબાજુના સગાવહાલા બધા યાદ કરીને, સગાવહાલાના તો ડખા થયેલા જ હોય કે ? તે બધાના, પાડોશીનું ફલાણું જુઓ, ત્રીજું જુઓ, ચોથું ઘર, પાંચમું ઘર, આ બાજુના ઘરો. નવરાશમાં બધાના પ્રતિક્રમણ કરીએ, એવું બધું ગોઠવી દેવું. બધું સાફ કર્યું કે ચોખ્ખું. તમારે તો કરવું પડશે. કોઈ કરવા લાગશે નહીં ને ? આમ કંઈ બીજા કરવા લાગે ? ત્યારે વાઈફ કરવા લાગે ? એ એમનું કરે કે તમારું કરે ? એટલે આવું તેવું ગોઠવવું પડે, ત્યારે તપ કહેવાય. આપણું તપ એટલે કેવું તપ હોવું જોઈએ કે તપવું, મનને તપાવવું. એટલે મનમાં જ્યારે ટાઈમ એ થઈ ગયો ને મન તપવા માંડ્યું એટલે મનને ખોરાક જોઈએ. તે વખતે તો એને મીઠો લાગે એવો ખોરાક ભેગો કરી આપો. પછી ઘરની કંઈ વસ્તુ યાદ કરીને એને મહીં મનમાં ઘાલી દો કે બીજું ઘાલી દો, તો એ તપ ના કહેવાય. તપ તો તે ઘડીએ આત્મામાં જોડી દઈએ, આત્માનો શુદ્ધ ઉપયોગ કરીએ, તો તપ કહેવાય. (પા.૨૦) તપ એટલે મનને ગમતી વસ્તુ નહીં આપવી, બીજે રસ્તે ચડાવી દેવું. મનને ગમતી વસ્તુ આપી દઉં છું ને ? પ્રશ્નકર્તા : કોક વાર આપી દેવું પડે. દાદાશ્રી : એ ઠીક વાત છે. કો’કવાર તો વાંધો નહીં. નહીં તો તપ મળે નહીં ને આવું. તે તમે ત્યાં આગળ કહો છો, ત્યાં હોટલમાં લઈ જઈને મનને આનંદ કરાવો, એ ચાલે નહીં. આત્મજ્ઞાન પછી સંતોષ-તૃપ્તિ પ્રશ્નકર્તા : અડધા લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઈતું હોય છે. આમને ગાડી હોય એટલે મારે જોઈએ, એવું હોય છે. દાદાશ્રી : ના, પણ એ લોકસંજ્ઞાય છે તે મહીં પોતે ધરાયેલો ના હોય, ત્યારે ઉત્પન્ન થાય ને ! નહીં તો ધરાયેલાને કોઈ ભૂખ લગાડે એમ નથી. મને અત્યાર સુધી કોઈ ભૂખ લગાડનાર મળ્યો જ નથી ને ! નાનપણથી મને રેડિયો સરખોય લાવવાની જરૂર પડી નથી. અને શેને માટે આ જોઈએ ? આ તો કઈ જાતની બુદ્ધિ હોય ? એવી ભયંકર ચક્રમ હોય ત્યારે. અને મૂઆ, આટલા બધા રેડિયા લોક (રૂપી) ફરાફર કરે છે ને તું આ નવો રેડિયો કંઈ લાવ્યો ? આ બધા જીવતા જાગતા રેડિયા ફર્યા કરે છે ! પ્રશ્નકર્તા : અને તે ફેરોય ના ખાય પાછો આપણો. દાદાશ્રી : નહીં, ભાન જ નથી ને ! હવે તો વળી છોકરાંઓ અહીં કાનને અડાડીને ફર ફર કરે છે. એટલે ભાન જ નથી એમાં. મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. લોભનો પ્રતિપક્ષી શબ્દ સંતોષ. પૂર્વભવમાં કંઈક કરેલું હોય એથી એને સંતોષ મળે. આ જગતનું જ્ઞાન પણ થોડુંઘણું સમજ્યો હોય તેને સંતોષ રહે, અને આત્મજ્ઞાન હોય ત્યાં તો તૃપ્તિ જ હોય. અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય તેને સંતોષ હોય. સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા ! એને કશી ચીજ જોઈએ નહીં અને ના ભોગવેલું હોય તેને જાત- જાતનો લોભ પેસી જાય મહીં. આ ભોગવું ને તે ભોગવું ને ફલાણું ભોગવું. ના ભોગવેલું હોય ત્યાં સુધી મહીં ઉપાધિ-ઉપાધિ, વિચાર આવ્યા જ કરે. આ સંતોષ એ શું છે ? પોતે પૂરું ભોગવેલું છે પહેલા. એનો સંતોષ રહ્યા કરે. જે બાબતમાં તમે ભોગવેલું હોય, જે કોઈએ રાજસુખ, રાજાનું સુખ ભોગવેલું હોય, તેને અત્યારે રાજ આપીએ તોયે ના ગમે. મનમાં ને મનમાં કંટાળે એ. ‘અલ્યા, તે આ ભવમાં તો નથી ભોગવ્યું.’ તો કહે, ‘ના, પણ મને એ ગમતું નથી.’ એને નક્કી થઈ ગયેલું હોય છે. એટલે આ દુનિયામાં સુખ ભોગવેલું હોય તેને કશી જરૂર નથી. બાહ્ય સુખની પ્યાસ બળતરા કરે જો સુખ ક્યાંય જડતું નથી ! આટલા પૈસા છે, તોય પૈસામાં સુખ પડતું નથી, બૈરી છે એમાંય સુખ પડતું નથી ! એટલે વળી પાછા બોટલ મંગાવીને, જરા પીને સૂઈ જાય છે ! સુખ તો માણસે જોયું જ નથી ને ! જીવમાત્ર શું ખોળે છે ? સુખને જ ખોળે છે. કારણ કે એનો સ્વભાવ જ સુખનો છે. ચિત્તવૃત્તિ સુખ જ ખોળે છે કે આમાં સુખ આવશે, જલેબીમાં સુખ આવશે, અત્તરમાં સુખ આવશે, સિનેમામાં સુખ આવશે. એ ચાખ્યા પછી પોતે નક્કી કરે કે આમાં કંઈ જ સુખ નથી. પછી પોતે એ બધું છોડ છોડ કર્યા કરે ને આગળ નવું ખોળતું જ જાય, પણ એને તૃપ્તિ ના થાય. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષ એનું નામ કે (પા.૨૧) ઈચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય. જમવાની ઈચ્છા થઈ, પછી આપણે જમ્યા એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ એટલે એને ફરી ઈચ્છા જ ના થાય. પ્રશ્નકર્તા : કોઈ ઈચ્છા આપણે કરી હોય ને આપણને તે વસ્તુ ના મળી, એટલે મહીં બળતરા શરૂ થાય ને ? દાદાશ્રી : ઈચ્છા એ જ અગ્નિ છે. ઈચ્છા થઈ એટલે દીવાસળી સળગાવીને ચાંપવી. એ પછી ઓલવાય નહીં, ત્યાં સુધી બળતરા રહ્યા કરે. કડક ઈચ્છા કે નરમ ઈચ્છા હોય તેના પર બળતરાનો આધાર રહે છે. બહુ કડક ઈચ્છા હોય તો બહુ બળતરા ઊભી થાય. ખરી રીતે કુદરતી કાયદો શો છે ? આંતરિક સુખ આમ લેવલમાં રહેવું જોઈએ. આંતરિક સુખ અને બાહ્ય સુખ લેવલમાં રહેવું જોઈએ. વખતે બાહ્ય સુખ આમ વધ્યું તો આંતરિક સુખ ઘટ્યું હોય અને બાહ્ય સુખ વધ્યું હોય તો આટલું થયું હોય તો ચાલી શકે, પણ આ તો આમ જ થઈ ગયું છે (એકદમ અપ-ડાઉન). પ્રશ્નકર્તા : એ બહુ મોટો ડિફરન્સ (તફાવત) છે. દાદાશ્રી : એટલે આંતરિક સુખ રહ્યું જ નથી બિલકુલ. માણસ મેડ (ગાંડો) થઈ જાય અને બહુ જ બળતરા થાય. આરોપિત ભાવ છે ને, તે બહુ જ બળતરા ઉત્પન્ન થાય. બાહ્ય સુખ વધે તો જાણજે કે મરવાનો થયો આજનું ભૌતિક વિજ્ઞાન ‘આઉટ ઑફ બેલેન્સ’ (સમતુલાની બહાર) થઈ ગયું છે, ‘નૉર્માલિટી’(સામાન્ય સ્થિતિ)ની બહાર ગયું છે, તેથી ‘પૉઈઝન’ (ઝેર) થઈ ગયું છે. આજે આ ભૌતિક વિજ્ઞાનથી બાહ્ય સુખ પાર વગરના થઈ ગયા છે, ત્યારે બીજી બાજુ અંતર સુખ સૂકાઈ ગયું છે ! અંતર સુખ અને બાહ્ય સુખ, આ બેનું કંઈક ‘ઈક્વલ બેલેન્સ’ (સપ્રમાણ) હોવું જોઈએ. થોડુંઘણું વધઘટ થયું હોય તો ચાલે, પણ તેનું પ્રમાણ હોવું જોઈએ. ભૌતિક સુખ નીચું ગયું હોય તો ચલાવી લેવાય, પણ આજે તો આંતરિક સુખ ખલાસ થઈ ગયું છે ! આ અમેરિકામાં તો બિલકુલ ખલાસ થઈ ગયું છે ! ત્યાંની પ્રજાને તો વીસ-વીસ ગોળીઓ ખાય ત્યારે માંડ ઊંઘ આવે છે ! અમેરિકાએ એક બાજુ પાર વગરના ભૌતિક સુખો મેળવ્યા, ત્યારે બીજી બાજુ અંતર સુખ ખલાસ થઈ ગયું ! આ કેવું સાયન્સ ! અંતર શાંતિ તૃપ્તિ આપે ને બાહ્ય શાંતિથી લોભ વધ્યા કરે. જ્યાં સ્વાર્થ બુદ્ધિ છે ત્યાં અંતર શાંતિ ના રહે. માણસો અંતર શાંતિ માટે બહાર દોડધામ કરે છે, પણ એમ દોડધામથી શાંતિ મળે ? અંતર શાંતિ હોય તો જ બહાર શાંતિ મળશે. માટે પહેલા અંતરમાં સુખ છે એવું શ્રદ્ધામાં બેસવું જોઈએ તો અંતર શાંતિ મળે. આ બહારના સુખ વધારી દીઘા, ચાલીસ લાખના ફ્લેટ લીધા હોય, ખાવા-પીવાનું પાર વગરનું હોય, ટોપલે ટોપલા ફ્રુટના હોય ત્યારે સાહેબને ‘બ્લડ પ્રેશર’ ને ‘હાર્ટ એટેક’ આવેલા હોય ને બાઈસાહેબને ‘ડાયાબિટિસ’ થયેલો હોય, તે બેઉને મોઢે ડૉક્ટરે શીકી બાંધી દીધી હોય ! પછી આ બધું ખાય કોણ ? ત્યારે કહે, ઘરના પેલા ઉંદરડા ઘાટી અને રસોયો, ખાઈ-પીને લાલ ગલોલા જેવા થયેલા હોય. ‘ફ્લેટ’માં જાવ તો જાણે સ્મશાનમાં ના પેઠા હોય ! શેઠ જોડે વાત કરો તોય નર્યા અહંકારથી વાત કરે એ. શેઠ મોંઘા ભાવની ચા પાય, પણ જ્યાં સુધી ભાવરૂપ દ્રવ્ય પડ્યું નથી ત્યાં સુધી ગમે તેવું સોળ આની સોનું હોય તોય નકામું છે. શેઠનું મોઢું જોઈએ તો જાણે (પા.૨૨) શેઠ હસવાનું જ ભૂલી ગયેલા હોય તેવું લાગે. આ બાહ્ય સુખની કેવી ભેટ ! ભગવાને શું કહ્યું હતું કે અંતર સુખ ને બાહ્ય સુખનો કાંટો જોયા કરજે. અંતર સુખ ઘટે ને બાહ્ય સુખ વધે તો જાણજે કે મરવાનો થયો. કાંટો થોડોઘણો ઊંચોનીચો હોય તો ચલાવી લેવાય, પણ આ તો અંતર સુખની દાંડી સાવ ઊંચે જતી રહી તે તારી શી દશા થશે ? ન અવલંબન બહારનું તે આંતરિક સુખ પ્રશ્નકર્તા : એ બન્ને જુદું કેવી રીતે પાડી શકાય, કે આ આંતરિક સુખ છે ને આ બાહ્ય સુખ છે ? દાદાશ્રી : આ બહારનું અવલંબન ના હોય ને સુખ વર્તતું હોય, તે આંતરિક સુખ અને ચા સરસ આવી એટલે સુખ વર્ત્યું, એટલે ચાને લઈને બહારથી આવ્યું. અગર પવન આવ્યો આમ ઠંડો, આ હાશ થાય એ સુખ બહારથી આવ્યું કહેવાય. પ્રશ્નકર્તા : આ જે આપણે સુખ કે આનંદની વ્યાખ્યા આપણે સમજ્યા છીએ તો એનું પ્રમાણ તો કહે બહારનું છે. આપણે એ જ જોયું છે ને આપણી પાસે એનું જ પ્રમાણ છે પણ અંદરનું સુખ છે, એનો અનુભવ આપણને ખબર નથી કે કઈ રીતનું હોય છે ? એનું પ્રમાણ શું ? દાદાશ્રી : કેમ માણસ ઊંઘી જાય છે ? થાક લાગ્યો હોય ત્યારે ઊંઘી જાય છે ને થાક ઊતરી જાય છે. પણ જોડે જોડે મનમાં એમ થાય કે આજે બહુ સરસ ઊંઘ આવી. બહુ સરસ એટલે સુખ પોતાને વર્તે છે. આ પાંચ ઈન્દ્રિયોના બારણા જ વાસી દીધા ને, તોય અંદરનું સુખ વર્તે. તેથી તો લોકો સૂઈ જાય છે ત્યારે સુખ વર્તે મહીં. ઊંઘી ગયો એટલે સુખ વર્તે. પણ એ બધા સુખ આવરણ લાવનારા સુખો છે. આત્માને કોથળામાં પૂરીને સુખ મેળવીએ તે ખોટું છે, તેના કરતા તપ કરીને સુખ મેળવવું સારું. ઊંઘીને ઊઠે છે ત્યારે સુખ શાથી લાગે છે ? આત્મા છે ત્યાંથી જ સુખ આવે છે, એ અહંકારને સુખ લાગે છે. એટલે આ બહારની મશિનરી બંધ થઈ જાય તો ભગવાન તો હાજર છે, એમનું સુખ બહાર નીકળે. અનંત સુખનો કંદ જ પોતે છે. એટલે મહીંનું સુખ બહાર નીકળે પછી. આ મશિનરી ચાલુ હોય ત્યારે પેલું સુખ બહાર નીકળે ખરું પણ દેખાય નહીં. પ્રશ્નકર્તા : આત્માનો જે અંદરનો આનંદ છે, તે એનું પ્રમાણ શું ? કેવી રીતે સ્પષ્ટ ખબર પડે કે આ આત્માનો જ આનંદ છે ? દાદાશ્રી : આપણે આપણી વસ્તુ બીજાને આપીએ તે ઘડીએ ખબર પડે. કોઈ દુઃખી માણસ હોય ને તે ઘડીએ આપણે ત્યાં આગળ દવાખાનામાં જઈને કંઈક વસ્તુ આપી આવીએ, તે એ વખતે મહીં આનંદ વર્તતો હોય, તે આપણો પોતાનો છે. એ બહારથી નથી આવતો. પ્રશ્નકર્તા : એ આપણે વસ્તુ બીજાને આપવાથી ઉત્પન્ન થયો ને ? દાદાશ્રી : (સામાન્યપણે) આપવાથી તો દુઃખ જ થાય હંમેશાં. આપવામાં સુખ હોય જ નહીં. આપવામાં સુખ હોય તો લોકો આપી ના દે બધું ? પણ આપતી વખતે જે આનંદ થાય છે, એ અંદરનો આનંદ છે. એને દુઃખ થવું જોઈએ તેને બદલે સુખ થયું તે અંદરનો આનંદ છે. પ્રશ્નકર્તા : પણ તેમાંયે વસ્તુ બીજાને આપવાનું અવલંબન તો રહ્યું ને ? દાદાશ્રી : અવલંબનનો સવાલ નથી. આ (પા.૨૩) આંતરિક સુખ કોને કહેવાય, એ પછી એમ કરતા કરતા સમજમાં આવશે એને. આંતરિક સુખ ખરું ક્યારે આવે કે જ્યારે એકાંતમાં બહુ દુઃખ હોય ને, એને દુઃખ માને. દુઃખમાં છે તે થોડીવાર થાય ને પછી મહીં સુખ વર્તે એને. પછી સરસ થઈ જાય પાછું. દુઃખમાં કંઈથી સુખ આવ્યું આ ? ના, ના, કલાકથી દુઃખી દુઃખી હતો અને થોડીવાર પછી આપણને કહે છે કે હા, હવે વાંધો નથી, હવે ચાલો. એ અંદરથી સુખ આવ્યું. અંદરથી હેલ્પ કરે છે. એટલે પાછું એને રાગે પડે છે બિચારાને. અંદરના સુખથી જ જીવન જીવી રહ્યા છે લોકો. પણ એમને અનુભવમાં ના હોય ને એ વસ્તુ. હવે આવતા ભવે બીજું કશું જોઈએ નહીં મેં કહ્યું, ‘આત્મધર્મ અને એના સંજોગો, બે જ પુણ્યમાં પ્રાપ્ત થાઓ.’ તેનું આ મને મળ્યું છે. અને તમે તો આ જોઈએ ને બે-ત્રણ છોકરાં જોઈએ ને એક છોડી જોઈએ ને એને હું પૈણાવું અને પસ્તાઉ ને... પ્રશ્નકર્તા : એમાં અમારો શાનો દોષ ? તમારો દોષ. અમને ગયા જન્મમાં શું કામ ના મળ્યા તમે ? દાદાશ્રી : ‘મારે ઘડિયાળ જોઈએ ને ટી.વી. જોઈએ,’ તે ટી.વી. હઉ લાવ્યા ! પ્રશ્નકર્તા : હા, પણ તે તમે ગયા જનમમાં મળ્યા હોત તો કશુંય ના હોત. દાદાશ્રી : અરે, મળ્યા’તા તો ખરા, પણ તમે માગો એવા નહોતા. તમે કંઈ પાંસરા હતા નહીં. અને ગયા જનમમાં મળ્યા વગર છઠ્ઠી પેઢીના પિતરાઈ થતા હશો તમે ? એક બ્લડ કહેવાય ! સાત પેઢી થયા પછી નાહવા-નિચોવાનું નહીં. સાત પેઢી સુધી નાહવા-નિચોવાનું કહેવાય છે. એટલે ગયા અવતારે તો ભેગા થયેલા જ, પણ તમને આ ગમી નહીં મારી વાત. ‘છોકરાં તો જોઈએ ને, આ તો બાવા જેવા છે’, કહેશે. પણ પેલું તો મને કેટલાય અવતારથી એમાં અભાવ થઈ ગયેલો ને, એટલે વસ્તુ આમ જ, આ જ જોઈએ. બીજું કંઈ જોઈએ નહીં. અને હવે ભવિષ્યમાં તો આયે નહીં જોઈએ. કોટ-બોટ કશુંય નહીં હોય, આગલા (આવતા) અવતારમાં તો. કારણ કે આય પહેરવાની ઉપાધિ ! બળ્યું, ઈસ્ત્રી કરવાની ઉપાધિ, ધોવાની ઉપાધિ ! પ્રશ્નકર્તા : એ તો જોઈશું ને ! ભેગા થાવ તો કહેજો અમને, કે અમે પેલા ! દાદાશ્રી : બધું કહેલું હોય પણ તમે પાંસરા ક્યાં રહો છો તે ? પ્રશ્નકર્તા : ફરી આવતા અવતારમાં કહેજો, ભેગા થઈએ ત્યારે. દાદાશ્રી : બહુ પાકા ! જુઓ ને, કેવો પ્રશ્ન પૂછે છે એમ, આખો ખુલાસો થઈ જાય એવો ! ‘કશું જ જોઈતું નથી’ ત્યારે બધું મળશે હવે તમારે જેમાં વાપરવું હોય તેમાં છૂટ છે. તમેય હવે ટેન્ડર ભરો તો બરોબર પાંસરું ભરજો, હં. હવે બે અવતાર છે. નહીં તો પછી મોટરો માગવી હોય તો મોટરો માગજો, બંગલો માગવો હોય તો બંગલો માગજો, તે બધું તમારામાંથી બાદ થશે. શેમાંથી બાદ થશે ? આ તમારી મૂડી થઈ છે ને, તેમાંથી. આ તમારી પોતાની રકમમાંથી ખર્ચાય. અને તમે કહેશો, કે ‘સાહેબ, મારે કશું જ જોઈતું નથી.’ તો આ દેહ પ્રાપ્ત થયો કુદરતી રીતે, તે પેલું ખાવાનુંય કુદરતી રીતે પ્રાપ્ત થશે. એટલે એક પૈસોય આપણો મૂળ રકમમાંથી જાય નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, એવું ક્યાંથી બને ? (પા.૨૪) તમે શુદ્ધાત્માનું લક્ષ આપ્યું, એની પહેલા માંગણી તો કરી જ હોય ને, કે આમ થાય ને તેમ થાય એવું કાંઈ, મને કાંઈ જ ન મળે એવી તો કોઈએ ભાવના કરી જ ન હોય. કોઈએ કંઈ જ ના માગ્યું હોય એવું તો બને જ નહીં ને ? દાદાશ્રી : ના, એ તો એવું માગવું નથી પડતું, એની મેળે જ મહીં આશય હોય તે પ્રમાણે મળે છે. અત્યારે માગ્યું મળતું નથી. એ તો એમ જ બોલે છે, કે ‘આ શુદ્ધાત્મા સિવાય કંઈ જ જોઈતું નથી.’ પણ અંદરખાને આશય ખરો. અંદર બુદ્ધિના આશયમાં હોય. એટલે બુદ્ધિનો આશય આવો હોય તો વાંધો નહીં, કે ભઈ, દેહ મળવાનો છે, દેહને અંગે મળવાનું છે, તો જે હોય તે. આ દેહને જે અનુકૂળ આવે તે આપણને પ્રાપ્ત થશે. એ તો ફ્રી ઑફ કૉસ્ટ છે. પુણ્ય વટાવવાની સિસ્ટમ જુદી રાખેલી બુદ્ધિના આશયમાં વીતરાગતા વિના હું બીજું કશું જ લાવ્યો જ નથી. બંગલા, ગાડી, ઘોડા, રેડિયો, ઘડિયાળ કશું લાવેલો જ નહીં. છતાં અમને ગાડી મળે. અમે જાણતા જ હતા કે સંસાર, સંસારી માલ, ગાડી-ઘોડા ને જાહોજલાલી એ બધું ધર્મની બાય પ્રોડક્ટ જ છે ને તેય પાછી ફ્રી ઑફ કૉસ્ટ (મફત) છે. એટલે અમે અમારા બુદ્ધિના આશયમાં કેટલાય અવતારોથી એક માત્ર ધર્મ જ લાવેલા. આ બધાના જેવું પુણ્ય લાવેલો, પણ મારું પુણ્ય હશે, તે વટાવવાની સિસ્ટમ મેં જુદી રાખેલી. પ્રશ્નકર્તા : એટલે પાપ-પુણ્યના આધારે જ બધું છે એવું થયું ? દાદાશ્રી : હા, પણ એની ભાવનામાં હોય તો ભેગું થાય. ભાવનામાં ના હોય તો ના થાય. અમને જો કશું જ ભેગું થયું જ નથી ને ક્યારેય. પ્રશ્નકર્તા : જી. દાદાશ્રી : એટલે બધું પુણ્યાનુબંધી પુણ્ય જ લાવેલો. કશું ઘડિયાળ નહીં પહેરેલું. આ વખતમાં ઘડિયાળ ના પહેરેલો માણસ ખોળી કાઢવો... પ્રશ્નકર્તા : હા, મુશ્કેલ, દાદા. દાદાશ્રી : એક આદિવાસીઓ (જંગલમાં રહેનારા) હોય ને આમ દાદા હોય, બે હોય. એને ભો હશે અને મને આપે તોય મારે કામનું નહીં. લાખો રૂપિયા આવ્યા-ગયા પણ ઘડિયાળ નહીં, રેડિયો નહીં, કશું જ નહીં. આ જુઓ ને, પુણ્ય કેવું સરસ ! ભઈબંધો લાવીને આ મૂકી જાય ને એ કહે, ‘તમારે ખર્ચો નહીં, ચાલો.’ એ જાણે ખર્ચ થાય માટે નહીં લાવતા હોય. એટલે એ લાવે, પછી બીજો કોઈ આવે તેને હું કહું, કે ‘લઈ જા ને, ભાઈ.’ અને ઘેર ૧૯૩૬ પછી કશું લાવ્યો નથી. વસાવ્યું નથી બીજું કશું. એક કબાટ, એક પલંગ, બે ખુરશી અને એક ટિપોઈ એટલું જ વસાવેલું, બીજું કશું લાવ્યો નથી, એનું એ જ. જ્યારે જુઓ ત્યારે ભઈબંધ એ જ જુએ. ત્યારે મને તો આમાં રંગ લાગેલો, બીજો રંગ જ નહીં ને ! અમારે ફાઉન્ડેશન બહુ મજબૂત, તે કશું જ ના હોય તો ચાલે. ઘેરેય કોઈ દહાડો કશું લાવ્યો નથી હું. ઘેર કોઈ દહાડો કશુંય વસાવેલું નહીં. સ્વતંત્રતામાં સુખ માનેલું, કે કોઈ કશું આપણને આવું પરવશતા ના કરે. આ તો બધી નરી જંજાળ છે ! આ તો સુખ છે કંઈ ? છૂટકો નથી પણ તમે ક્યાં જાવ ? આ સુખ ના ભોગવો તોય ક્યાં જાવ ? તે દુઃખેય ભોગવવું પડે અને સુખેય ભોગવવું પડે. કર્મના લખેલા છે ને ! હિસાબ છે ને ! એ જ્ઞાન મળે તો જ સુખ અને દુઃખ બેઉ હોય તે પલટાઈ જાય. (પા.૨૫) અક્રમ માર્ગ પામ્યા પછી પુણ્યનો સદુપયોગ આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે આવો માર્ગ નીકળે છે ને ! એવું છે ને, આ પુણ્યૈ જાગી છે તે ખાવા-પીવાનું ઘેર બેઠા મળે છે ! એટલે આ બધું ટી.વી. જોવાનું છે, નહીં તો ખાવા-પીવાનું ઠેકાણું ના હોય તો આખો દહાડો મહેનત કરવા જાય કે ટી.વી જુએ ? એટલે આ પુણ્યનો દુરુપયોગ કરે છે. આ પુણ્યનો સદુપયોગ તો એવો કરવો જોઈએ કે ટાઈમ છે તે આત્મા માટે કાઢવો જોઈએ. છતાં ટી.વી. ના જ જોવો એવો આગ્રહ નહીં, થોડીવાર જોઈએ ખરું, પણ એમાંથી રસ કાઢી નાખવો બધો કે ખોટું છે, આ જોઈએ છીએ તે. આ અક્રમ વિજ્ઞાન જાણ્યા પછી ટાઈમ ના ખોવે. સારા કામમાં વાપરે પછી. ટાઈમની ગોઠવણી થઈ જવી જોઈએ. એક મિનિટ ટાઈમ બગાડાય કેમ કરીને ? અમે નિરંતર ઉપયોગમાં રહેવાના, નિરંતર. મનુષ્યનો અવતાર, અવતાર કોનો ? માનવદેહ. અને તેમાં રેડિયો સાંભળવાનો ટાઈમ મળે છે તને ? મને તો કોઈ દહાડો મળ્યો નથી. કારણ કે મિનિટ પણ ઊંધે રસ્તે નહીં જવા દેવાવાળો માણસ. ઉપયોગપૂર્વક રહેવાનું ! ગમે તે ઉપયોગ, અજ્ઞાન ઉપયોગ હતો, પણ આવું તો નહીં. આ છોકરવાદ નહીં. આ તો હોતું હશે આપણને ? મનોરંજન કે આત્મરંજન ? બે પ્રકારના રંજન : એક મનોરંજન અને એક આત્મરંજન. મનોરંજનથી આકુળતા-વ્યાકુળતા કંઈ જાય નહીં. એ તો જરાક આકુળ ને વ્યાકુળ રહ્યા કરે. માછલાને પાણીની બહાર નાખેલું હોય ને, તો તરફડ્યા કરે, એવો તરફડાટ તરફડાટ જીવમાત્રને મહીં થઈ રહ્યો હોય, આખો દહાડો. નાનું બાળક હોય તેય તરફડ્યા કરે. જગતે આત્મરંજન ચાખ્યું જ નથી. બધું મનોરંજન ચાખ ચાખ કર્યું છે. જ્યાં જુઓ ત્યાં મનોરંજન, મનોરંજન ! મનોરંજન બે પ્રકારના. એક અધોગતિમાં લઈ જાય એવા, આ સિનેમા અને એ બધા કુસંસ્કારો. અને સારા સંસ્કારવાળા મનોરંજન હોય, તે ધર્મની વાતો થતી હોય કે ધ્યાનની વાતો થતી હોય, એ જરા ઊંચી ગતિમાં લઈ જનારા, સારા સંસ્કારવાળા, પણ એ મનોરંજન કહેવાય. મનોરંજનથી મન ખુશ થાય પણ અંતર શાંતિ કોઈ દહાડો થાય નહીં, આત્મરંજન ક્યારેય પણ થાય નહીં. આત્મરંજન જ્યાં સુધી થાય નહીં, ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા જાય નહીં. વ્યાકુળતાથી આ બધા દુઃખો ઊભા થાય છે અને ‘જ્ઞાની’ પાસે નિરાકુળતાથી દુઃખો નાશ થઈ જાય. સંસાર એટલે આકુળતા ને વ્યાકુળતા. શી રીતે ગમે છે એ જ અજાયબી છે ! અહીં આગળ રિયલની વસ્તુ છે એટલે આત્મરંજન થાય. બીજે બધે મનોરંજન થાય, પછી જ્યાં જાય ત્યાં મનોરંજન થાય. મનોરંજન એટલે શું, ત્યાં આગળ ખુશ ખુશ ખુશ થાય. આમ કૂદાકૂદ કરે, જેમ પાણી ઉકળતું હોય તેમ. અને પાછો નીચે ઉતરે ત્યારે હતો તેવો ને તેવો જ. અહીં તો બધું ચેન્જ મારી દે. આખો પલટો જ ખાઈ જાય ! માણસનો પલટો જ ખાઈ જાય ! જય સચ્ચિદાનંદ |