ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


પ્રેમ

પ્રેમ, શબ્દ અલૌકિક ભાષાનો !

પ્રશ્શનકર્તા : વાસ્તવિકતામાં પ્રેમ વસ્તુ શું છે ? મારે એ વિગતવાર સમજવું છે.

દાદાશ્રી : જગતમાં આ જે પ્રેમ બોલાય છે ને, એ પ્રેમને નહીં સમજવાથી બોલે છે. પ્રેમની વ્યાખ્યા હોય કે ના હોય ? શું ડેફિનેશન છે પ્રેમની ?

પ્રશ્શનકર્તા : કોઈ એટેચમેન્ટ કહે, કોઈ વાત્સલ્ય કહે. ઘણી જાતના પ્રેમ છે.

દાદાશ્રી : ના. ખરેખર જેને પ્રેમ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા તો હશે જ ને ?

પ્રશ્શનકર્તા : મારે તમારી આગળ કશી ફળની આશા ન હોય, એને આપણે ખરો પ્રેમ કહી શકીએ ?

દાદાશ્રી : એ પ્રેમ જ ના હોય. પ્રેમ સંસારમાં હોય નહીં. એ અલૌકિક તત્ત્વ છે. સંસારમાં જ્યારથી અલૌકિક ભાષા સમજતો થાય ત્યારથી એ પ્રેમનું ઉપાદાન થાય.

પ્રશ્શનકર્તા : આ જગતમાં પ્રેમનું તત્ત્વ જે સમજાવ્યું છે તે શું છે ?

દાદાશ્રી : જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે, તે લોક વ્યવહારમાં આવેલો છે. બાકી, આપણા લોકો, પ્રેમને સમજતા જ નથી.

આમાં સાચો પ્રેમ ક્યાં ?

તમારામાં પ્રેમ ખરો ?

તમારા છોકરા ઉપર તમને પ્રેમ છે કે ?

પ્રશ્શનકર્તા : હોય જ ને !

દાદાશ્રી : તો પછી મારો ખરા કોઈ દહાડો ? કોઈ દહાડો માર્યાં નથી છોકરાંને ? વઢ્યાય નથી ?

પ્રશ્શનકર્તા : એ તો કોઈક વાર વઢવું તો પડે જ ને !

દાદાશ્રી : ત્યારે પ્રેમ એવી ચીજ છે કે દોષ ના દેખાય. માટે દોષ દેખાય છે એ પ્રેમ નહોતો. એવું તમને લાગે છે ? મને આ બધા પર પ્રેમ છે. કોઈનોય દોષ મને દેખાયો નથી અત્યાર સુધી. તો તમારો પ્રેમ કોની પર છે એ કહોને મને ? તમે કહો છો 'મારી પાસે પ્રેમની સિલક છે' તો ક્યાં આગળ છે ?

સાચો પ્રેમ હોય અહેતુકી !

પ્રશ્શનકર્તા : પછી તો ઈશ્વર માટેનો પ્રેમ એ જ પ્રેમ કહેવાય ને ?

દાદાશ્રી : ના. ઈશ્વર માટેનોય પ્રેમ નથી તમને ! પ્રેમ વસ્તુ જુદી છે. પ્રેમ કંઈ પણ હેતુ વગરનો હોવો જોઈએ, અહેતુકી હોવો જોઈએ. ઈશ્વર જોડે પ્રેમ, તો બીજા જોડે કેમ પ્રેમ નથી કરતા ? એમનું કંઈક કામ છે તમને ! 'મધર' જોડે પ્રેમ છે, તે કંઈક કામ છે. પણ પ્રેમ અહેતુકી હોવો જોઈએ. આ મને તમારી પરેય પ્રેમ છે અને આ બધા પરેય પ્રેમ છે પણ મને હેતુ નથી આમાં કંઈ પાછળ !

નથી સ્વાર્થ પ્રેમમાં !

બાકી, આ તો જગતમાં સ્વાર્થ છે. 'હું છું' એવો અહંકાર છે ત્યાં સુધી સ્વાર્થ છે અને સ્વાર્થ રહ્યો ત્યાં પ્રેમ હોય નહીં. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ રહી શકે નહીં, ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ રહી શકે નહીં.

એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુધ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? 'મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને 'મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને લઈને 'મારું-તારું' થયું. 'મારા-તારા'ને લીધે સ્વાર્થ છે ને સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ના હોય. અને 'મારી-તારી' ક્યારે ના હોય ? 'જ્ઞાન' હોય ત્યારે 'મારી-તારી' ના હોય. 'જ્ઞાન' વગર તો 'મારી-તારી' ખરી જ ને ? તો પણ આ સમજાય એવી વસ્તુ નથી.

જગતના લોકો પ્રેમ કહે છે તે ભ્રાંતિ-ભાષાની વાત છે, છેતરવાની વાત છે. અલૌકિક પ્રેમની હૂંફ તો બહુ જુદી જ હોય. પ્રેમ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.

ઢાઈ અક્ષર પ્રેમકા...

તેથી તો કબીર સાહેબે કહ્યું,

''પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,

ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.''

પ્રેમના અઢી અક્ષર આટલું સમજે તો બહુ થઈ ગયું. બાકી, પુસ્તક વાંચે તેને તો કબીર સાહેબે આવડી આવડી આપી કે આ પુસ્તક તો પઢીને જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં ને રખડી મર્યો. એટલે પુસ્તકમાં તો આમ જો જો કરે ને, એ તો બધું મેડનેસ વસ્તુ છે. પણ જો અઢી અક્ષર પ્રેમનો જાણ્યો કે પંડિત થઈ ગયો એવું કબીર સાહેબે કહ્યું. કબીર સાહેબની વાત સાંભળી બધી ?

પ્રેમ હોય તો કોઈ દહાડો છૂટા પડે નહીં. આ તો બધો ઘાટવાળો પ્રેમ છે. ઘાટવાળો પ્રેમ એ પ્રેમ કહેવાય ?

પ્રશ્શનકર્તા : એને આસક્તિ કહેવાય ?

દાદાશ્રી : છે જ આસક્તિ. અને પ્રેમ તો અનાસક્ત યોગ છે. અનાસક્ત યોગથી સાચો પ્રેમ ઉત્પન્ન થાય.

પ્રેમની યથાર્થ વ્યાખ્યા !

દાદાશ્રી : વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ ?

પ્રશ્શનકર્તા : મને ખબર નથી. એ સમજાવો.

દાદાશ્રી : અરે, હું જ નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ખોળતો હતો ને ! મને થયું, પ્રેમ શું હશે ? આ લોકો 'પ્રેમ પ્રેમ' કર્યા કરે છે તે પ્રેમ શું હશે ? તે પછી બધા પુસ્તકો જોયાં, બધાં શાસ્ત્રો વાંચ્યાં, પણ પ્રેમની વ્યાખ્યા કોઈ જગ્યાએ જડે નહીં. મને અજાયબી લાગી કે કોઈ શાસ્ત્રોએ પ્રેમ શું છે એવી વ્યાખ્યા જ નથી કરી ! પછી જ્યારે કબીર સાહેબનું પુસ્તક જોયું ત્યારે દિલ ઠર્યું કે પ્રેમની વ્યાખ્યા તો આમણે કરી છે. એ વ્યાખ્યા મને કામ લાગી. એ શું કહે છે કે,

''ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય

અઘટ પ્રેમ હી હ્રદય બસે, પ્રેમ કહીએ સોય.''

એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, 'કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે !' આ સાચામાં સાચો પ્રેમ. ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય ?

પ્રશ્શનકર્તા : તો સાચો પ્રેમ કોનું નામ કહેવાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.

પ્રશ્શનકર્તા : છતાંય જગતમાં ક્યાંક તો પ્રેમ હશે ને ?

દાદાશ્રી : કોઈ જગ્યાએ પ્રેમ જ નથી. પ્રેમ જેવી વસ્તુ જ આ જગતમાં નથી. બધી આસક્તિ જ છે. અવળું બોલીએ ને, ત્યારે તરત ખબર પડી જાય.

હમણે આજ ભાઈ આવ્યા વિલાયતથી, તે આજ તો એની જોડે ને જોડે બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું-ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહેશે, 'નોનસેન્સ જેવા થઈ ગયા છો.' એટલે થઈ રહ્યું ! અને 'જ્ઞાની પુરુષ'ને તો સાત વખત 'નોનસેન્સ' કહે તોય કહેશે, 'હા, ભાઈ, બેસ, તું બેસ.' કારણ કે 'જ્ઞાની' પોતે જાણે છે કે આ બોલતો નથી, આ રેકર્ડ બોલી રહી છે.

આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જ્યાં પ્રેમમાં, પ્રેમની પાછળ દ્વેષ છે, એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે ? એકધારો પ્રેમ હોવો જોઈએ.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15