ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


પશુ-પંખીઓમાં ય પ્રેમ !

એટલે વસ્તુ સમજવી પડે ને ! અત્યારે તમને એમ લાગે છે કે પ્રેમ જેવી વસ્તુ છે આ સંસારમાં ?

પ્રશ્શનકર્તા : અત્યારે તો, છોકરાં ઉપર વહાલ કરીએ એને જ પ્રેમ માનીએ છીએ ને !

દાદાશ્રી : એમ ? પ્રેમ તો આ ચકલીને એનાં બચ્ચાં પર હોય છે. એ ચકલી નિરાંતે દાણા લાવી અને માળામાં આવે, એટલે પેલાં બચ્ચાં 'માજી આવ્યાં, મમ્મી આવ્યાં' કરી મૂકે. ત્યારે ચકલી એ બચ્ચાનાં મોઢામાં દાણા મૂકે. 'એ દાણા કેટલાક રાખી મૂકતી હશે મહીં મોઢામાં ? અને કેવી રીતે એક-એક દાણો કાઢતી હશે ?' એ હું વિચારમાં પડેલો. તે ચારેય બચ્ચાંને એક-એક દાણો મોઢામાં મૂકી આપે.

પ્રશ્શનકર્તા : પણ એમનામાં આસક્તિ ક્યાંથી આવે ? એમનામાં બુધ્ધિ નથી ને !

દાદાશ્રી : હા, તે જ હું કહું છું ને ? એટલે આ તો એક જોવા માટે કહું છું. ખરેખર તો એ પ્રેમ ગણાય નહીં. પ્રેમ સમજણપૂર્વકનો હોવો જોઈએ. પણ એ ય પ્રેમ ગણાય નહીં. પણ છતાં ય આપણે આ બેનો ભેદ સમજવા દાખલો મૂકીએ છીએ. આપણા લોકો નથી કહેતા કે ભઈ, આ ગાયનો વાછરડા પર કેટલો ભાવ છે ? તમને સમજ પડી ને ? એની મહીં એ બદલાની આશા ના હોય ને !

બદલાની આશા, ત્યાં આસક્તિ !

એટલે આસક્તિ ક્યાં હોય ? કે જ્યાં એની પાસે કંઈક બદલાની આશા હોય, ત્યાં આસક્તિ હોય અને બદલાની આશા વગરના કેટલા માણસો હશે હિન્દુસ્તાનમાં ?

એક આંબો ઉછેરે છેને આપણા લોક, તે કંઈ આંબાને ઉછેરવા માટે ઉછેરે છે ? 'શા સારુ ભઈ, આંબાની પાછળ આટલી બધી માથાકૂટ કરો છો ?' ત્યારે એ કહે છે, 'આંબો મોટો થશેને, તે મારા છોકરાનાં છોકરાં ખાશે અને પહેલાં તો હું ખાઈશ.' એટલે ફળની આશાથી આંબો ઉછેરે છે. તમને કેમ લાગે છે ? કે નિષ્કામ ઉછેરે છે ? નિષ્કામ કોઈ ઉછેરતા નહીં હોય ! એટલે બધાય પોતાની ચાકરી કરવા સારુ છોકરાં ઉછેરતાં હશે ને કે ભાખરી કરવા સારુ !

પ્રશ્શનકર્તા : ચાકરી કરવા માટે.

દાદાશ્રી : પણ અત્યારે તો ભાખરી થઈ જાય છે. મને એક જણ કહે છે, 'મારો છોકરો ચાકરી નથી કરતો.' ત્યારે મેં કહ્યું, 'ત્યારે ભાખરી ના કરે તો શું કરે તે ? હવે કંઈ લાડવા થાય એવા છો નહીં, તે ભાખરી કરે એટલે ઉકેલ(!) આવી જશે.'

માનો પ્રેમ !

પ્રશ્શનકર્તા : પણ શાસ્ત્રમાં લખેલું છે કે મા-બાપને પોતાનાં બાળકો પ્રત્યે સરખો જ પ્રેમ હોય, એ બરાબર છે ?

દાદાશ્રી : ના, મા-બાપ કંઈ ભગવાન નથી કે સરખો પ્રેમ રહે ! તે સરખો પ્રેમ તો ભગવાન રાખી શકે. બાકી, મા-બાપ કંઈ ભગવાન નથી બિચારાં, એ તો મા-બાપ છે. એ તો પક્ષપાતી હોય જ. સરખો પ્રેમ તો ભગવાન જ રાખી શકે, બીજું કોઈ રાખી શકે નહીં. આ મને અત્યારે સરખો પ્રેમ હોય બધાનાં ઉપર.

બાકી, આ તો લૌકિક પ્રેમ છે. અમથા લોકો 'પ્રેમ પ્રેમ' ગાયા કરે છે. આ તો બૈરી જોડે ય પ્રેમ હોતો હશે ? આ બધા ય સ્વાર્થનાં સગાં છે અને આ મા છેને, તે તો મોહથી જ જીવે છે. પોતાના પેટે જન્મ્યું એટલે એને મોહ ઉત્પન્ન થાય છે અને ગાયને ય મોહ ઉત્પન્ન થાય છે પણ છ મહિના એનો મોહ રહે છે અને આ મધરને સાઠ વર્ષનો થાય તોય મોહ ના જાય.

પ્રશ્શનકર્તા : પણ માને બાળક ઉપર જ્યારે પ્રેમ હોય છે ત્યારે નિષ્કામ જ છે ને ?

દાદાશ્રી : ન્હોય એ નિષ્કામ પ્રેમ. માને બાળક ઉપર નિષ્કામ પ્રેમ ના હોય. એ તો છોકરો પછી મોટી ઉંમરનો થાય ત્યારે કહે કે, 'તમે તો મારા બાપની વહુ થાવ', તો ? તે ઘડીએ ખબર પડશે કે નિષ્કામ હતો કે નહીં ! જ્યારે છોકરો કહે, 'તમે મારા ફાધરનાં વાઈફ છો.' તે દહાડે માનો મોહ ઊતરી જાય કે 'તું મોઢું ના દેખાડીશ.' હવે ફાધરના વાઈફ એટલે મા નહીં ? ત્યારે મા કહે, 'પણ આવું બોલ્યો કેમ ?' એને ય મીઠું જોઈએ છે. બધો મોહ છે.

એટલે એ પ્રેમ પણ નિષ્કામ નથી. એ તો મોહની આસક્તિ છે. જ્યાં મોહ હોય ને આસક્તિ હોય ત્યાં નિષ્કામતા હોય નહીં. નિષ્કામ તો મોહ, આસક્તિરહિત હોય.

પ્રશ્શનકર્તા : એ તમારી વાત સાચી. એ તો બાળક મોટું થાય પછી એવી આસક્તિ વધે. પણ જ્યારે બાળક છ મહિનાનું નાનું હોય ત્યારે ?

દાદાશ્રી : તે ઘડીએય આસક્તિ જ છે. આખો દહાડોય આસક્તિ જ છે. જગત આસક્તિથી જ બંધાયેલું છે. જગતમાં પ્રેમ હોઈ શકે નહીં કોઈ જગ્યાએ.

પ્રશ્શનકર્તા : એવું બાપને હોય એવું માની શકું, પણ 'મા'નું મગજમાં ઊતરતું નથી બરોબર હજી મને.

દાદાશ્રી : એવું છે ને, બાપ સ્વાર્થી હોય. જ્યારે મા છોકરા તરફ સ્વાર્થી ના હોય. એટલે આટલો ફેર હોય. માને શું હોય ? એને બસ આસક્તિ જ ! મોહ !! બીજું બધું ભૂલી જાય, ભાન ભૂલી જાય. એમાં નિષ્કામ એક ક્ષણવારે ય ના હોય. નિષ્કામ તો હોઈ શકે નહીં માણસ. નિષ્કામ તો 'જ્ઞાની' સિવાય કોઈ હોઈ શકે નહીં. અને આ જે બધા નિષ્કામ થઈને ફરે છેને, તે દુનિયાનો લાભ ઉઠાવે છે. નિષ્કામનો અર્થ તો હોવો જોઈએ ને ?

ખખડાવ્યે ખબર પડે !

પ્રશ્શનકર્તા : તો માતા-પિતાનો પ્રેમ જે છે, એ કેવો કહેવાય ?

દાદાશ્રી : માતા-પિતાને એક દહાડો ગાળો ભાંડેને તો પછી એ સામા થઈ જાય. આ 'વર્લ્ડલી' પ્રેમ તો ટકે જ નહીં ને ! પાંચ વર્ષે, દસ વર્ષે પણ ઊડી જાય પાછો કોઈક દહાડો. સામો પ્રેમ હોવો જોઈએ, ચઢ-ઊતર ના કરે એવો પ્રેમ હોવો જોઈએ.

છતાં છોકરાની ઉપર બાપ કોઈ વખત જે ગુસ્સો કરે છે, એની મહીં હિંસકભાવ નથી.

પ્રશ્શનકર્તા : એ ખરેખર તો પ્રેમ છે ?

દાદાશ્રી : એ પ્રેમ હોય જ નહીં. પ્રેમ હોય તો ગુસ્સો ના હોય. પણ હિંસકભાવ નથી એની પાછળ. એટલે એ ક્રોધ ના કહેવાય. ક્રોધ હિંસકભાવ સહિત હોય.

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15