ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 




નથી કોઈ ફેર, કાંટા ને મચ્છરમાં !

આ મચ્છર કૈડે ત્યારે લોકોને મચ્છરનો દોષ દેખાય છે ને પેલો કાંટો કૈડે ત્યારે શું કરે છે ? આવડો મોટો કાંટો પેસી જાય તો ? તે કાંટામાં ને મચ્છરમાં ફેર નથી જરાયે, ભગવાને ફેર જોયો નથી. જે કૈડે છે ને, એ આત્મા ન હોય. એ કાંટા જ છે બધા. એ કાંટાનો દોષ નથી દેખાતો ને ! એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : જીવતું કોઈ નિમિત્ત દેખાતું નથીને ત્યાં !

દાદાશ્રી : અને પેલું જીવતું દેખાય છેને, એટલે એ જાણે કે આ જ મને કૈડ્યું. 'પોતે' ભ્રાંતિવાળો, તે જગત એને ભ્રાંતિવાળું જ દેખાયા કરે. આત્મા કોઈને કૈડે જ નહીં. આ બધું અનાત્મા થઈને દંડ દઈ રહ્યું છે જગતને. પરમાત્મા દંડ ના દે. આત્મા ય દંડ ના દે, આ તો બાવળિયાની શૂળો જ બધાંને વાગ વાગ કરે છે.

ડુંગર ઉપરથી આવડો મોટો પથરો પડે માથા ઉપર તો ઉપર જોઈ લે કે કોઈએ ગબડાવ્યો કે નથી ગબડાવ્યો ? પછી કોઈ ના દેખાય એટલે ચૂપ ! અને કોઈકે આપણી ઉપર કાંકરી મારી હોય ત્યાં હલદીઘાટની લડાઈ જમાવે. કારણ શું છે ? કે ભ્રાંતદ્રષ્ટિ છે !

આ 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? કે પેલો કાંટો ય નિમિત્ત છે ને ભાઈયે નિમિત્ત છે, દોષ તમારો જ છે. આ ફૂલને કચડે તો તેનું ફળ ના આવે ને કાંટાને કચડે તો ફળ આવે, તેવું આ મનુષ્યમાં ય છે. માટે જાળવીને ચાલો ! કાંટો વાગવો અગર તો વીંછીનું કૈડવું બેઉ કર્મફળ છે. આ ફળ આવ્યું, પણ કોનું ફળ ? મારું પોતાનું. ત્યારે કહે, 'એમને શું લેવા-દેવા ?' એ તો બિચારાં નિમિત્ત છે. જમાડનારાં કોણ હોય ને પીરસનારાં કોણ હોય !!

માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જુદી જાતનું છે. તદ્દન ન્યાય સ્વરૂપ છે. મેં આખી જિંદગીથી હિસાબ કાઢ્યો છેને, તે હિસાબ કાઢતાં કાઢતાં એવો સરસ હિસાબ કાઢ્યો છે, ને જગતને હું આપીશ એક દહાડો એ હિસાબ ! ત્યારે જગતને ઠંડક વળશે. નહીં તો ઠંડક ના વળે. અનુભવમાં તો લેવું પડે ને ! અનુભવના સ્ટેજ ઉપર લઈએ ત્યારે જ કામ થાય ને ?! કે 'આનું શું પરિણામ આવશે' એવું રિસર્ચ તો કરવું પડેને ?!

કોઈનો જીવવાનો રાઈટ, તોડાય ?

આ મેં તપાસ હઉ કરેલી પાછી. શું અક્કલવાળાએ આબરૂ મેળવી ! ઉંદર એ બિલાડીનો ખોરાક છે. ખાવા દોને એને ! અને આ છછુંદર જતું હોય ને, તો બિલાડી એને ના અડે. બિલાડી જો ભૂખી જ હોય ને ઉંદર, જીવડાં, જીવોને ખાઈ જતી હોય ત્યારે છછુંદરને કેમ નથી ખાતી ? પણ એ છછુંદરને ના અડે. આનાં પર વિચાર કરજો.

આ કંઈક પુણ્યૈ કરેલી તેથી બેઠાં બેઠાં ખાવાનું મળ્યું. અને આ મજૂરોને તો મહેનત કરે ત્યાર પછી પૈસા લાવે ત્યારે ખાવાનું મળે. માટે આપણે હવે કોઈને દુઃખ ના થાય, જાનવરને - નાના જીવડાંને દુઃખ ના થાય એવી રીતે વર્તન રાખવું. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યાં છે એને માર માર કરે છે. સાપ નીકળ્યા હોય તો મારી નાખે, માકણને ય મારી નાખે. એવાં શૂરવીર (!) લોકો !! એવું લોકો મારે ખરાં ? ભારે શૂરવીર કહેવાય ને ?! એટલે લોકો મારવામાં શૂરા પાછાં ! અને આ સર્જન કોનું, તે વિસર્જનમાં પોતે તૈયાર થઈ જાય છે ?! તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો. કંઈ ન્યાય હોય કે ના હોય ?!

એવું છેને, આ તો રિલેટિવ વ્યુપોઈન્ટથી માકણ છે ને રિયલ વ્યુપોઈન્ટથી શુધ્ધાત્મા છે. તમારે શુધ્ધાત્માને મારવો છે ? ના ફાવે તો બહાર જઈને નાખી આવજો ને ! હવે બધાંને મારીને માણસ સુખ ખોળે છે આમાં. મચ્છરાં મારવા, માકણ મારવા, જે આવ્યું હોય તેને મારવું અને સુખ ખોળવું, એ બે શી રીતે સાથે બને ?!!

પ્રશ્નકર્તા : ઘરમાં કીડીઓ ખૂબ ઉભરાય તો શું કરવું ?

દાદાશ્રી : જે રૂમમાં કીડીઓ નીકળી હોય તે રૂમ બંધ રાખવો. આને ઉપદ્રવ કહેવામાં આવે છે. કુદરતનો નિયમ એવો છે કે અમુક દિવસ એનો ઉપદ્રવ ચાલ્યા કરે. પછી એનો ટાઈમ પૂરો થઈ જાય એટલે ઉપદ્રવ બંધ થઈ જાય, એની મેળે કુદરતી જ ! એટલે આપણે રૂમ બંધ રાખવો, આ બધું તમે તપાસ કરશો તો ય જડશે. આ પરમેનન્ટ ઉપદ્રવ છે કે ટેમ્પરરી ?

પ્રશ્નકર્તા : મોટાભાગે કીડીઓ બધી રસોડામાં જ આવતી હોય છે, તો રસોડું કેમ બંધ રાખવું ?

દાદાશ્રી : એ તો બધા વિકલ્પ છે. આપણે આ સમજી લેવાનું. ઉપદ્રવ હોય ત્યાંથી ખસી જવાનું, બે રસોડા રાખો. એક સ્ટવ જુદો રાખો. તે દિવસે કંઈ બાફીને ખાઈ લેવું. મારીને જોખમદારી બહુ જબરજસ્ત છે.

પ્રશ્નકર્તા : રોજીંદા વહેવારના અવરોધમાં આવે છે, એને જ મારી નાખીએ છીએ ને બીજા બધાને તો મારવા જતા નથી.

દાદાશ્રી : જેને જીવડાં મારવા છે એને એવા સંયોગ મળી આવે અને જેને નથી મારવા એને એવા સંયોગ મળી આવે.

થોડો વખત 'નથી મારવા' એવો પ્રયત્ન કરશો તો સંયોગો બદલાશે. દુનિયાના નિયમો જો સમજો તો ઉકેલ છે. નહીં તો પછી મારવાનો રિવાજ છૂટતો નથી. તો પછી સંસારનો રિવાજ તૂટશે નહીં. ભૂલેચૂકે મરી જાય એનું પ્રતિક્રમણ કરી લેવું કે માફી માગું છું.

પ્રશ્નકર્તા : આપણે પણ આ રોજીંદા જીવનમાં આ બધી દવાઓ છાંટી બધા જીવજંતુઓ મારીએ છીએ, તો એની ઈફેક્ટ આપણા પર થાય છે ?

દાદાશ્રી : મારો છો તે ઘડીએ અંદર તરત જ મહીં પરમાણુ બદલાઈ જાય છે અને તમારી મહીં યે મરી જાય છે. જેટલું તમે બહાર મારશો એટલું મહીં મરશે. જેટલું બહાર જગત છે એટલું અંદર જગત છે. એટલે તમારે જેટલું મારવું હોય એટલું મારજો, તમારી મહીં યે મરતા રહેશે. જેટલું આ બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે.

એટલા બધા ચોર હોય છે કે આપણે એમાંથી બચીએ જ નહીં. આપણે કોઈ દહાડો કોઈનું ગજવું કાપવાનો, ચોરી કરવાનો વિચાર નથી કરતાં, તે આપણું એ કાપતા નથી. એટલે તમે હિંસકને બદલે અહિંસક રહેશો, તો હિંસાના સંજોગ જ તમને ભેગા નહીં થાય એવું આ જગત છે. જગત એક વખત સમજી લ્યો તો ઉકેલ આવે.

સહી કરે તેનો ગુનો !

પ્રશ્નકર્તા : આ ચોમાસામાં ગામમાં માખીઓ વધારે થાય, મચ્છરો વધારે હોય, તો મ્યુનિસિપાલિટીવાળા કે આપણે ઘરમાં બધે 'ફ્લીટ' છાંટીએ. તો એ પાપ જ કહેવાય ને ? પણ એ જો ન કરે તો રોગચાળો ભયંકર ફાટી નીકળે.

દાદાશ્રી : એવું છે ને, આમાં ને આ હિટલરે બોમ્બગોળા નાખ્યા એમાં ફેર શો ? આ નાનામાં નાનો હિટલર થયો !

પ્રશ્નકર્તા : પણ આ તો ગામની વાત થઈને ! આ ચોમાસુ છે, તો ચોમાસામાં બધે ગંદકી તો હોય જ. તો મચ્છરો-માખીઓ બધું થાય. તો મ્યુનિસિપાલિટી શું કરે કે બધે ઠેકાણે દવા છાંટે.

દાદાશ્રી : મ્યુનિસિપાલીટી કરે, એમાં આપણને શું લેવાદેવા ? આપણા મનમાં એવો ભાવ ના હોવો જોઈએ. આપણા મનમાં એમ હોવું જોઈએ કે આવું ના હોય તો સારું.

પ્રશ્નકર્તા : તો મ્યુનિસિપાલિટીનાં જે કામ કરનારા માણસો છે, જે સત્તા ઉપર હોય, એમને દોષ લાગે ?

દાદાશ્રી : ના. એમને ય લાગે-વળગે નહીં.

પ્રશ્નકર્તા : તો કોને લાગે ?

દાદાશ્રી : એ તો ફક્ત કરનારા જ છે. એને કોણ કરાવડાવે છે ? એમનાં ઓફિસરો ને એ બધા.

પ્રશ્નકર્તા : તો ઓફિસરો કોના માટે કરે છે ?

દાદાશ્રી : એમની ફરજો ! પણ આપણા માટે નથી.

પ્રશ્નકર્તા : પણ આપણે તો કમ્પ્લેઈન કરી, કાગળ લખીને નોટિસ આપી.

દાદાશ્રી : પણ જેને ના કહેવું હોય તે ના કહે. જેને ના કરવું હોય એ કહેશે, 'ભાઈ, મારે આ જોઈતું નથી. મને આ ગમતું નથી.' તો પછી ? તો પોતાની જવાબદારી નહીં. અને જેને ગમે છે એની જવાબદારી.

પ્રશ્નકર્તા : એટલે દરેકના પોતાના ભાવ ઉપર રહ્યું ?

દાદાશ્રી : હા, પોતાનો ભાવ શેમાં છે, એટલી એની જોખમદારી !

પ્રશ્નકર્તા : આ પાણીની ટાંકી હોય, એમાં ઉંદર મરી ગયો કે કબૂતર મરી ગયું, તો એ બધું સાફસૂફી કરવી પડે. સાફસૂફી કરાવ્યા પછી એમાં દવા છાંટવી પડે અગર તો મ્યુનિસિપાલિટીવાળાને બોલાવીને દવા છંટાવીએ. એટલે બધાં જ જીવ-જંતુઓ તો નાશ થાય ને ? તો એ પાપ તો થયું ને ? એ બંધ કોને પડે ? કરનારને કે કરાવનારને ?

દાદાશ્રી : કરનાર ને કરાવનાર બન્નેને જાય. પણ આપણા ભાવમાં ના હોવું જોઈએ. આપણો આવો અભિપ્રાય ન હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : ગંદકી મટાડવાનો ભાવ છે. કારણ કે ગંદકી ના મટે તો બધા મનુષ્યો પાણી પીશે તો એમને નુકસાન થશે.

દાદાશ્રી : હા, પણ એ તો દોષ બેસવાના જ ને ! એવું છે ને, એવા દોષ ગણવા જાય ને, તો આ જગતમાં નિરંતર દોષ જ થયા કરે છે.

એટલે તમારે કોઈની ચિંતા નહીં કરવાની. તમે તમારું સંભાળો. સબ સબકી સમાલો. દરેક જીવમાત્ર પોતપોતાનું મરણ ને એ બધું લઈને આવેલા છે. તેથી તો ભગવાને કહ્યું કે કોઈ કોઈને મારી શકતો નથી. પણ આ ઓપન ના કરશો, નહીં તો લોક દુરુપયોગ કરશે.

અને ઘરમાં દસ માણસ હોય અને ટાંકી બગડી છે, એને કોણ સાફ કરવા નીકળે ? જેનામાં અહંકાર હોય તે નીકળે, કે 'હું કરી નાખીશ. એ તમારું કામ નહીં.' એટલે બધું અહંકારીને દોષ જાય.

પ્રશ્નકર્તા : પણ એ એના કરુણાના ભાવે કરે છે.

દાદાશ્રી : કરુણા હોય કે ગમે તે. અને આ પાપે ય બાંધશે.

પ્રશ્નકર્તા : તો શું કરવું ? એ ગમે તેવું ગંદુ પાણી પી લેવાનું ?

દાદાશ્રી : આમાં ચાલે એવું જ નથી. એ અહંકાર કર્યા વગર રહે જ નહીં. અને એવું કશું નહીં, તમારે તો અસલ ચોખ્ખું જ પાણી મળ્યા કરવાનું. કોઈ અહંકારી તમને ચોખ્ખું જ કરી આપશે. હા, આ દુનિયામાં હરેક ચીજ છે. કોઈ ચીજ એવી નથી કે જે ના મળે. પણ તમારું પુણ્ય અટક્યું છે ફક્ત. તમારો જેટલો અહંકાર એટલો અંતરાય. અહંકાર નિર્મૂળ થયો કે બધી વસ્તુ તમારે ઘેર ! આ જગતની કોઈ ચીજ તમારે ઘેર ના હોય એવું નહીં રહે ! અહંકાર જ અંતરાય છે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19