ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


પુષ્પ પાંખડી જ્યાં દુભાય...

પ્રશ્નકર્તા : અત્યાર સુધી જે પુષ્પો તોડ્યાં હશે, તો એનાં કંઈ પાપ દોષ લાગ્યા હશે ?

દાદાશ્રી : અરે, પુષ્પો એક હજાર વર્ષ તોડે અને એક જિંદગી લોકોની જોડે કે ઘરમાં કષાય કરે, ઘરમાં કકળાટ કરે, તો પેલા કરતાં આ કષાયનો દોષ વધી જાય. તેથી કકળાટ પહેલો બંધ કરવાનો કહ્યો છે ભગવાને. પુષ્પોનો તો કશો વાંધો નથી. છતાં ય પુષ્પો જરુરિયાત ન હોય તો ન તોડવા જોઈએ. જરૂરિયાત એટલે દેવ ઉપર મૂકવા તોડીએ તો વાંધો નહીં. શોખને માટે ન તોડવા જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એવું કહે છે ને, 'પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહીં ત્યાં આજ્ઞા.'

દાદાશ્રી : એ તો કૃપાળુદેવે કહ્યું છે. તીર્થંકરોએ લખેલું, તે કૃપાળુદેવે તીર્થંકરના શબ્દો લખ્યા છે. પણ એ તો ક્યાં આગળ ? કે જેને આ સંસારની કશી ચીજ જોઈતી ના હોય એવી શ્રેણી ઉત્પન્ન થાય ત્યારે ! અને તમારે તો હજુ આ બુશકોટ પહેરવાનો છે ને ?!

પ્રશ્નકર્તા : તે ય ઈસ્ત્રીવાળો !

દાદાશ્રી : અને તે પાછું ઈસ્ત્રીવાળો ! એટલે આ સંસારના લોકોને તો દરેક ચીજ જોઈએ છે. માટે કહે છે કે, 'ભગવાનના માથે ફૂલ મેલજો. તે આપણા તીર્થંકર ભગવાનની મૂર્તિ પર ફૂલ મૂકે છે કે નથી મૂકતા ? તમે નથી જોયાં હજુ ? મૂર્તિપૂજા કરવા નથી ગયેલા ને ?! ત્યાં મૂર્તિ પર ફૂલ મૂકે છે.

ભગવાને સાધુઓને કહ્યું હતું કે તમે ભાવપૂજા કરજો. અને જૈનો દ્રવ્યપૂજા સાથે કરે. દ્રવ્યપૂજા કરવાથી એમની અડચણો બધી તૂટી જાય. એટલે અમે શું કહીએ છીએ કે જેને અડચણ હોય તે જ્ઞાની પુરુષને ફૂલ ચઢાવે ને અડચણ ના હોય તેને કંઈ જરૂર નથી. બધાંને કંઈ સરખું હોય છે ? કેટલાંકને કેવી કેવી અડચણો હોય છે ! તે બધી જતી રહે. અને 'જ્ઞાની પુરુષ'ને તો આમાં કશું અડતું ય નથી ને નડતું ય નથી.

છતાં કેટલાંક લોકો મને કહે છે કે, 'પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહીં આજ્ઞા. ભગવાનની આજ્ઞા નથી ને ?' મેં કહ્યું કે, 'આ તો કોલેજના ત્રીજા વર્ષની વાત અત્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં શું કામ લાવો છો ? કોલેજના ત્રીજા વર્ષમાં એનું એટેન્શન દેવાનું. તમે અત્યારે સેકન્ડમાં શું કરવા લાવો છો આ બધું ?' ત્યારે એ કહે છે, 'એ તો વિચારવા જેવી વાત છે.' મેં કહ્યું કે, 'ત્યારે વિચારો. આ સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડમાં લાવવાની જરૂર નથી. તમે છેલ્લા વર્ષમાં આવો ત્યારે કરજો ને !' ત્યારે કહે છે કે, 'એની લિમિટ કેટલી હોય ?' મેં કહ્યું કે, 'છેલ્લા અવતારમાં ભગવાન મહાવીર પૈણેલા હતા, એવું તમે નથી જાણતા ?' ત્યારે કહે કે, 'હા, પૈણેલા હતા.' મેં કહ્યું કે, 'કેટલા વર્ષ સુધી સંસારમાં રહ્યા હતા ?' ત્યારે કહે, 'ત્રીસ વર્ષ સુધી.' મેં કહ્યું કે, 'સંસારમાં રહ્યા એનો કોઈ પુરાવો છે તમારી પાસે ?' ત્યારે કહે કે, 'એમને છોડી હતી ને !' મેં કહ્યું કે, સંસારમાં રહે છે, એટલે એ તો સ્ત્રીના અપરિગ્રહી તો નહોતા જ ને ? પરિગ્રહી હતા. પરિગ્રહી હોય તો છોકરી હોય ને ? નહીં તો પુરાવો કેવી રીતે હોય ? એટલે ત્રીસ વર્ષ સુધી એ પરિગ્રહી હતા. તો ભગવાને એવું શું જોયું કે સ્ત્રીનો પરિ

ગ્રહ તે અવતારમાં હોય અને તે અવતારમાં

મોક્ષે પણ જવાય ? તો એમણે એવી શી શોધખોળ કરી ?! એટલે આ ફાઈનલ પરની વાત છે બધી.

એટલે મૂર્તિને ય ફૂલ ચઢાવાય ને આપણા તીર્થંકરોની મૂર્તિને ય ફૂલ ચઢાવાય. આ તો આમ પુષ્પપાંખડી નથી દુભવતા અને આમ જોડેવાળાની જોડે કષાય કરી કરીને દમ કાઢી નાખે છે. પુષ્પની પાંખડી ના દુભાય એવા માણસથી તો એક કૂતરું ઊંઘતું હોય ને એ ત્યાં રહીને પસાર થાય તો કૂતરું જાગે નહીં એવું હોય.

આ પુષ્પપાંખડી સુધ્ધાં ય ન દુભાય એ છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ મોક્ષે જતાં બાકી રહ્યાં હોય ત્યારે જ બંધ કરવાનું હોય. એટલે છેલ્લાં પંદર વર્ષ માટે સાચવી લેવાનું છે. અને જ્યારથી સ્ત્રીનો જોગ છોડીએ ત્યાર પછી એની મેળે આ પુષ્પ ને એ બધું ય મૂકી દેવાનું. અને એ તો એની મેળે જ બંધ થઈ જાય છે. એટલે ત્યાં સુધી વ્યવહારમાં કશું ડખલ કરવી નહીં.

એકેન્દ્રિય જીવોની સૃષ્ટિ !

પ્રશ્નકર્તા : આ અપકાય, તેઉકાય, પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય એ શું છે ?

દાદાશ્રી : એ બધાં એકેન્દ્રિય જીવો છે.

પ્રશ્નકર્તા : પાણીમાં જીવ છે એ અમને શ્રધ્ધા બેસી ગઈ છે એટલે અમે ઊકાળીને પાણી પીએ છીએ.

દાદાશ્રી : મારું કહેવાનું કે પાણીમાં જીવોની વાત તમે જે સમજ્યા છો ને કહો છોને, એ તો આ લોકોએ કહેલું એ તમે માની લીધેલું છે. બાકી, વાત આમાં સમજણ પડે એવી નથી. આજના મોટા મોટા સાયન્ટિસ્ટોને સમજણ પડે એવી નથી ને ! ને વાત બહુ ઝીણી છે. એ જ્ઞાનીઓ પોતે સમજી શકે. પણ આને વિવરણપૂર્વક સમજાવવા જાય તો ય તમને સમજાય નહીં એવી વાત છે. આ પાંચ જે છે ને, એમાં વનસ્પતિકાય એકલું જ સમજાય એવું છે. બાકી વાયુકાય, તેઉકાય, જલકાય અને પૃથ્વીકાય, આ ચાર જીવો સમજવા માટે બહુ ઊંચું લેવલ જોઈએ.

પ્રશ્નકર્તા : સાયન્ટિસ્ટો એ જ શોધખોળ કરી રહ્યા છે ને !

દાદાશ્રી : પણ સાયન્ટિસ્ટો નહીં સમજી શકે. આ ઝાડમાં એકલામાં સમજી શકાય. તે ય બહુ રીતે નહીં, અમુક જ રીતે સમજી શકાય.

એવું છે, આ તમને ભગવાનની ભાષાની વાત કહી દઉં. આ ઝાડ-પાન જે બધાં ઊઘાડી આંખે દેખાય છે, એ વનસ્પતિકાય છે. આ ઝાડમાં પણ જીવ છે. આ વાયુકાય એટલે વાયુમાં પણ જીવો છે, એ વાયુકાય જીવો કહ્યા. પછી આ માટી છે ને, એની મહીં પણ જીવેય છે ને માટી યે છે. આ હિમાલયમાં માટી છે, પથ્થર છે એ બધામાં જીવ છે. પથરાં પણ જીવતા હોય છે, એને પૃથ્વીકાય જીવ કહ્યા. આ અગ્નિના ભડકા બળે છે ને, તે ઘડીએ એ કોલસામાં અગ્નિ નથી હોતો. એ તો તેઉકાય જીવો ત્યાં ભેગા થઈ જાય છે. તે તેઉકાય જીવો. આ પાણી પીએ છે, એ નર્યાં જીવડાંનું જ બનેલું છે. હા, જીવ અને એનો દેહ - બે ભેગું થઈને આ પાણી છે. એને ભગવાને અપકાય નામના જીવ કહ્યા. એ પાણીરૂપી જેનું શરીર છે. એવા કેટલાં બધાં જીવોનું ભેગું થયેલું એક પ્યાલો પાણી થાય. હવે આ પાણી એ જીવો, આ ખોરાક એ જીવો, આ હવા એ ય નર્યા જીવો, બધું જીવો જ છે.

સિધ્ધિ અહિંસા તણી...

પ્રશ્નકર્તા : તો હવે અહિંસા કેમ કરીને સિધ્ધ થાય ?

દાદાશ્રી : અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિધ્ધ થાય તો માણસ ભગવાન થાય ! અત્યારે થોડી ઘણી અહિંસા પાળો છો ?

પ્રશ્નકર્તા : સાધારણ, બહુ નહીં.

દાદાશ્રી : તો પછી થોડીક પાળવાની નક્કી કરો ને ! વળી પાછાં સિધ્ધ થવાની વાતો ક્યાં કરો છો ?! અહિંસા સિધ્ધ થાય એટલે ભગવાન થઈ ગયો !!

પ્રશ્નકર્તા : એ અહિંસા પાળવાનો ઉપાય બતાવો.

દાદાશ્રી : એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું, તેને ત્રાસ નહીં આપવો. અને ઘઉં છે, બાજરી છે, ચોખા છે, એને ખાવ. એનો વાંધો નથી. એ આપણાથી ત્રાસ નથી પામતા, એ બેભાનપણે છે અને આ કીડી-મંકોડાં એ તો દોડી જાય છે, એને ના મરાય. આ છીપલાં-શંખલાનાં જે જીવ હોય છે, જે હલનચલન કરે છે એવાં બે ઇન્દ્રિયથી માંડી અને પાંચ ઇન્દ્રિયના જીવોનું નામ ના દેવાય. માકણને ય તમે પકડો તો ત્રાસ થઈ જાય. તો તમે એને મારો નહીં. સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા, સમજ પડી.

દાદાશ્રી : હા, બીજું, સૂર્યનારાયણ આથમ્યા પછી જમો નહીં.

હવે ત્રીજું, અહિંસામાં જીભનો બહુ કંટ્રોલ રાખવો પડે. તમને કોઈ કહે કે તમે નાલાયક છો, તો તમને સુખ થાય કે દુઃખ થાય ?

પ્રશ્નકર્તા : દુઃખ થાય.

દાદાશ્રી : તો તમારે એટલું સમજી જવું કે આપણે એને 'નાલાયક' કહીએ તો એને દુઃખ થશે. એ હિંસા છે, એટલે આપણે ના કહેવું જોઈએ. જો અહિંસા પાળવી હોય તો હિંસા માટે બહુ સાવચેતી રાખવી પડે. આપણને જેવું દુઃખ થાય એવું બીજાને ન કહી શકીએ.

પછી મનમાં ખરાબ વિચાર પણ નહીં આવવો જોઈએ. કોઈકનું મફતમાં લઈ લેવું છે, પડાવી લેવું છે એવા વિચાર કોઈ આવવા ના જોઈએ. બહુ પૈસા ભેગા કરવાના વિચાર ના આવવાં જોઈએ. કારણ કે શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે પૈસા તારા હિસાબના જે છે, એ તો તારા માટે આવ્યા જ કરે છે. તો બહુ પૈસા ભેગા કરવાના વિચાર કરવાની તારે જરૂર જ નથી. તું એવા વિચાર કરે તો તેનો અર્થ હિંસા થાય છે. કારણ કે બીજા પાસેથી પડાવી લેવું, બીજાનો ક્વોટા આપણને લઈ લેવાની ઇચ્છા થાય છે, એટલે એ ત્યાં પણ હિંસા સમાયેલી છે. એટલે આવાં કોઈ ભાવ નહીં કરવા.

પ્રશ્નકર્તા : બસ, આ ત્રણ જ ઉપાય છે અહિંસાના ?

દાદાશ્રી : હજુ છે બીજા. પછી માંસાહાર, ઇંડાં કોઈ દહાડો નહીં ખાવા. પછી બટાકા છે, ડુંગળી છે, લસણ છે, આ ચીજ ના લેશો. નાછૂટકે ય ના લેવાં. કારણ કે એ ડુંગળી-લસણ હિંસક છે, માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય. બીજા તમારે જે શાક ખાવા હોય તે ખાજો.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19