ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



પ્રતિક્રમણ

૨૫. પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ !

પરભાવમાં તન્મયાકાર !

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય, તો તુરત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજસ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય, કે તેમાં તન્મયાકાર થઈ જવાય, તો શું કરવું ? પરભાવમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ કર્યું કહેવાય ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું આપણે. પછી શું લખે છે કે નિજસ્વભાવમાંથી પરભાવમાં જવાનું. હવે પરભાવમાં તો કોઈ અમારી આજ્ઞા પાળે તે માણસ પરભાવમાં જઈ શકે નહીં. અને જવું હોય તો ય નહીં જવાય. માટે આજ્ઞા પાળવાની શરૂ કરી દો, એટલે પરભાવમાં જવાય જ નહીં. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં. એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તો એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી, જો આજ્ઞા પાળે તો. આ નથી અને આ છે નહીં તો આજ્ઞા પાળી શકાય નહીં. એટલું બધું વૈજ્ઞાનિક છે, આ તો બધું.

પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ એટલે જાગૃતિપૂર્વક પૂરેપૂરો નિકાલ ના થાય. હવે તન્મયાકાર થઈ ગયા પછી ખ્યાલ આવે, તો પછી એનું પ્રતિક્રમણ કરીને નિકાલ કરી નાખવાનો રસ્તો ખરો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો હલકાં થઈ જાય. ફરીવાર હલકાં થઈને આવે. અને પ્રતિક્રમણ ના કરે તો એનો એ બોજો પાછો આવે. ફરી છટકી જાય પાછું, ચાર્જ થયા વગરનું એટલે પ્રતિક્રમણથી હલકા કરી કરી પછી નિકાલ થયા કરશે.

પ્રશ્નકર્તા : તમે કહો છો કે અતિક્રમણ ન્યૂટ્રલ છે. તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું ?

દાદાશ્રી : અતિક્રમણ ન્યૂટ્રલ જ છે. પણ તેમાં તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ અતિક્રમણમાં તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ કશું જ કરી શકે નહીં. અને પ્રતિક્રમણ તો આપણે તન્મયાકાર ના થઈએ તો ય પણ કરે. ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયાં, તેને ય તમે જાણો ને નથી થયાં તેનેય તમે જાણો. તમે તન્મયાકાર થતાં જ નથી. તન્મયાકાર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર થાય છે. તેને તમે જાણો છો. તન્મયાકાર ચંદુભાઈ થાય છે. તમે તો જાણનાર એ.

પ્રશ્નકર્તા : તન્મયાકાર ચંદુભાઈ થયા તો ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ને ?

દાદાશ્રી : હા. ચંદુભાઈને કહેવાનું.

સ્વપ્નામાં પણ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પ્રતિક્રમણ થઈ શકે ?

દાદાશ્રી : હા, બહુ સારા થઈ શકે. સ્વપ્નામાં પ્રતિક્રમણ થાય, એ અત્યારે થાય છે ને તેના કરતાં સારાં થાય. અત્યારે તો આપણે હુડહુડ કરી નાખીએ. સ્વપ્નામાં જે કામ થાયને એ બધું આખું પદ્ધતિસર હોય. સ્વપ્નામાં 'દાદા' દેખાય તે એવા 'દાદા' તો આપણે જોયા જ ના હોય એવા દાદા દેખાય. જાગૃતિમાં એવા દાદા ના દેખાય, સ્વપ્નામાં બહુ સારા દેખાય. કારણ કે સ્વપ્નું એ સહજ અવસ્થા છે. અને આ જાગૃત એ અસહજ અવસ્થા છે.

પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પાપ કર્યું હોયને, તો જાગૃત અવસ્થામાં એનું પ્રતિક્રમણ કરી શકાય ?

દાદાશ્રી : કરાયને.

પ્રશ્નકર્તા : અને પછી એ ફળે !

દાદાશ્રી : આપણને ગમે ત્યારે લક્ષમાં આવે ત્યારે પ્રતિક્રમણ કરી શકાય. કારણ કે આપણે જ હતા.

પ્રશ્નકર્તા : એનાથી પછી ચોખ્ખું થઈ જાય ખરું ?

દાદાશ્રી : હા. ગુનેગાર ગમે ત્યારે કબુલાત કરે ને તો, અહીં કોર્ટના કાયદા જુદા છે અને અહીં આગળ ગમે ત્યારે કબૂલાત કરાય.

પ્રશ્નકર્તા : સ્વપ્નામાં જે કર્મ થાય, એનાં પ્રતિક્રમણ ક્યારે કરવાના ? જાગ્યા પછી કરવાના ?

દાદાશ્રી : હા. જાગ્યામાં ખબર-યાદ રહે તો કરવાનાં. સ્વપ્નમાં કોઈને ઢેખાળો મારી આવ્યા, એટલે આપણો હિંસક ભાવ તો હતો જ, એ વાત નક્કી છે ને ? સામાને વાગ્યું-ના વાગ્યું એ જુદી વાત છે. એટલે પ્રતિક્રમણ તો કરવું. સ્વપ્નામાં ય રીસ ચઢે. કાકો દીઠો, ને રીસ ચઢે !

પ્રશ્નકર્તા : ઘણીવાર સ્વપ્નામાં કંઈ ભૂલ થાય તો એનું સ્વપ્નામાં જ પ્રતિક્રમણ થઈ જાય છે.

દાદાશ્રી : હા, થઈ જાય, થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, ઘણીવાર સ્વપ્નામાં પ્રતિક્રમણ નથી થતું, પણ જ્યારે સવારે હું જાગું છું, ત્યારે મને ખ્યાલ આવે કે મેં પ્રતિક્રમણ ના કર્યું તો તેનું પ્રતિક્રમણ સવારે કરી નાખવાનું ?

દાદાશ્રી : હા, કરી નાખવાનું. પ્રતિક્રમણ 'એની ટાઈમ' (કોઈપણ સમયે) કરી શકે. અને તે પ્રતિક્રમણ તો તારા ધણી જોડે ભાંજગડ થઈ હોય તો આપણે એના શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું, એવું કંઈ બોલો તો ય ચાલે. તું એની જોડે ગુસ્સે થઈ ગઈ, તો એ શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું. આ તો ટેકનિકલી શબ્દ છે પણ સાદું બોલે તો ય ચાલે. જે તે રસ્તે કપડું ધોવાનું છે.

સ્વપ્ન હમેશાં ગલન !

પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં સ્વપ્નાં આવે તો અસર રહે છે.

દાદાશ્રી : તે તો એમાં પ્રતિક્રમણ થાય ને ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો થાય.

દાદાશ્રી : તે તો ઊલટું સારું. પ્રતિક્રમણ થાય એટલે ફાયદાકારક. એનો વાંધો નહીં. અને પ્રતિક્રમણ તો કરવાં જ જોઈએ. પેલું 'લેટ-ગો' થાય તો એમાં એમનું કાચું રહી ગયું. અને આ તો પ્રતિક્રમણ કરીને એનું મૂળિયું કાઢી નાખે. એ તો સારું. અને ત્યાં તો પાછળથી કહી દોને, કે આ ખોટું થયું. 'ખોટું થયું' એવું હોય તેના માટે સારું.

સ્વપ્નું એટલે શું ? ગલન ! પૂરણ નહીં. બિલકુલે ય પૂરણ નહીં, એનું નામ સ્વપ્નું. અને જાગૃત સ્થિતિમાં અહંકાર હોવાથી ગલન અને પૂરણ બન્ને થાય. બાકી સ્વપ્નું એ ગલન એકલું જ છે. 'ડિસ્ચાર્જ' એટલે ગલન. અને 'ડિસ્ચાર્જ'ની ચિંતા કોઈએ કરવી નહીં. હા, 'ડિસ્ચાર્જ' ન થાય એની કાળજી રાખવી, પણ 'ડિસ્ચાર્જ' થઈ જાય એની ચિંતા કરવી નહીં. બની ગયું એની ચિંતા છોડી દો. ભવિષ્યમાં ન બને એની કાળજી રાખવી.

અનુપચારિક વ્યવહારમાં કર્મબંધ ક્યાં ?

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે. એ વાત બરાબર છે. પણ એમાં કોઈક ક્યાંક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ 'ચાર્જિંગ'નું ભયસ્થાન ક્યાં ?

દાદાશ્રી : 'ચાર્જ' થઈ જાય એવાં ભયસ્થાનો હોતાં જ નથી. પણ શંકા પડે ત્યાં આગળ 'ચાર્જ' થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન 'ચાર્જિંગવાળું' માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં કારણ કે જે શંકા પડી એ પછી ભૂલી જઈએ, એ શંકાની કિંમત જ નથી.

પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ?

દાદાશ્રી : ના. બેફામ રહે તો માર પડશે. બેફામ થાયને, નિષ્ફિકરો થાય, તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા ?

પ્રશ્નકર્તા : તો પછી ત્યા ંઔપચારિક 'એક્શન' કયું લેવું જોઈએ ?

દાદાશ્રી : બીજું શું 'એક્શન'માં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલું જ 'એક્શન' છે.

મહાત્માોને કર્મ ચાર્જ ક્યાં થાય ?

પ્રશ્નકર્તા : ખાસ મુદ્દો જ આ સમજવો હતો ક મહાત્માઓને 'ચાર્જ' થાય કે નહીં ?

દાદાશ્રી : તમને 'ચાર્જ' ના થાય. પણ પ્રતિક્રમણ કરવું સારું. પ્રતિક્રમણ કરવાથી અમારી આજ્ઞા પાળી કહેવાય. અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો. 'આપણે' તો અતિક્રમણ કરતાં નથી. આપણને પસંદે ય નથી. ઇચ્છા જ નહીં ને ?

પ્રશ્નકર્તા : ના. બિલકુલ ઇચ્છા જ ના હોય !

મહાત્માઓના દરેક કર્મ 'ડિસ્ચાર્જ' હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર ?

દાદાશ્રી : 'ડિસ્ચાર્જ' છે એટલે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, પણ અતિક્રમણ થયું હોય તો જ પ્રતિક્રમણ કરીએ. ખાય, પીએ એનું કંઈ પ્રતિક્રમણ કરવાનું નહીં. એમ કંઈ હું તમને પૂછ પૂછ કરું છું ? કે 'તમે કેરીઓ ખાધી કે ના ખાધી ? તેં ભજીયાં કેમ ખાધાં હતા ? તું હોટેલમાં કેમ ગયો હતો ?' એવું હું પૂછું છું કંઈ ? આમ તેમ કંઈ પૂછ્યું મેં ? ના કારણ કે એ હું જાણું છું કે એ બધું 'ડિસ્ચાર્જ' છે !!!

'ડિસ્ચાર્જ' ભાવે કોઈને બ્લેઈમ (આક્ષેપ) અપાઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : જેને બ્લેઈમ મળ્યો તેણે પણ પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : હા, તેણે પણ કરવું કે મારે કયા દોષના ભાગે આ આવ્યું ! પણ બ્લેઈમ આપનાર વધારે ગુનેગાર છે.

પ્રશ્નકર્તા : 'ડિસ્ચાર્જ'માં તન્મયાકાર થાય તો પાછા બીજા ભાવો પડેને ?

દાદાશ્રી : હા, બધું જોખમ ખરુંને ! પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય. પ્રતિક્રમણ કરે એ ય પરભાવ. એનાથી પુણ્યૈ બંધાય, એ સ્વભાવ નહીં. પુણ્ય બંધાય, પાપ બંધાય, એ બધું પરભાવ છે. સમભાવે નિકાલ થઈ ગયો એટલું ઓછું થયું.

જ્ઞાન પછી 'જોયા' કરવું !

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું હોય અને કોઈને ગાળ ભાંડી, પછી આપણને થાય કે આને બે આપવી છે. હવે પછી આપીએ ખરી. પાછા 'આપણે' જોઈએ કે આ ચંદુભાઈને આ આપવાનું મન થયું, પાછી આપી, અને તે ય પાછા ચંદુભાઈને આપણે જોઈએ. તો એ શું કહેવાય ? એ 'ચાર્જ' કહેવાય ?

દાદાશ્રી : આ બધું બની ગયું એને તું જોયા કરું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બસ તો છૂટ્યું. તારે લેવાદેવા નહીં.

પ્રશ્નકર્તા : કોઈએ આપણને ગાળ આપી ત્યારે આપણને એમ થાય કે આપવી ના જોઈએ. પણ ચંદુભાઈ એમ કહેતા હોય કે ના, આપવી જ જોઈએ. અને પછી ચંદુભાઈ જઈને આપી આવે. તો ય મહીં એમ થતું હોય કે આ ખોટું કર્યું છે, અને આપણે એમ જોતા હોઈએ પણ ચંદુભાઈને રોકી ના શકીએ.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. તારે જવાબદારી નહીં. ચંદુભાઈને જવાબદારી ખરી. તે પેલો માણસ ચંદુભાઈને ટૈડકાવે કે કેવા નાલાયક છે ને, શું બોલ બોલ કરો છો ? અગર ધોલ મારી દે, જે જોખમદાર છે એને માર ખાવો પડે.

પ્રશ્નકર્તા : પણ એટલે એ 'ચાર્જ' કર્યું કહેવાય ?

દાદાશ્રી : ના, એટલે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પણ 'આપણે' પ્રતિક્રમણ નહીં કરવાનું, એ ચંદુભાઈ કરે. આપણે કહીએ કે 'અતિક્રમણ' કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈ પ્રતિક્રમણ ના કર્યું તો ?

દાદાશ્રી : તો એ ચાલી શકે.

પ્રશ્નકર્તા : તો એ 'ચાર્જ' થયું ને ?

દાદાશ્રી : ના. 'ચાર્જ' તો થાય નહીં.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવું જોઈએ.

દાદાશ્રી : કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલાં કપડાં ધોઈએ-ને, એટલાં ચોખ્ખા કરીને મૂકી દેવા. પછી ઈસ્ત્રીમાં જાય એની મેળે.

ચાર્જ ક્યારે થાય ?

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી કર્મ 'ચાર્જ' થાય છે કે નહીં ?

દાદાશ્રી : 'ચાર્જ' થાય જ કેમ કરીને ? 'ચાર્જ' ક્યારે થાય ? 'વ્યવસ્થિત' કર્તા છે, તેનો તને વિશ્વાસ બેઠો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને ચંદુભાઈ કર્તા નથી એ તને વિશ્વાસ બેઠો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ચંદુભાઈ કર્તા હોય તો 'ચાર્જ' થાય. એટલે એ વાક્ય ઊડી ગયું ? તને સમજ પડીને ? એ વાક્યનો ખુલાસો થયોને ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્જ ના કરીએ ?

દાદાશ્રી : આત્મા પોતે કર્તા થાય તો જ કર્મ બંધાય.

જ્ઞાન પછી ક્રેડીટ ડેબીટ નીલ !

પ્રશ્નકર્તા : ખરાબ 'ચાર્જિંગ' થાય તેમ સારું ય 'ચાર્જિંગ' થાયને ?

દાદાશ્રી : ના થાય. ખરાબે ય ચાર્જ થતું નથી. આ 'ડિસ્ચાર્જ'માં અતિક્રમણ થયેલાં તેનું આપણે પ્રતિક્રમણ કરીએ. અતિક્રમણ થયેલાં એ સામાને નુકસાન કરે એવાં હોય છે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું તે 'ડિસ્ચાર્જ'માં રાગ-દ્વેષ આવે છે એનું કરવાનું છે ?

દાદાશ્રી : 'ડિસ્ચાર્જ'નું પ્રતિક્રમણ કરવાનું - 'ચાર્જ' તો થતું જ નથી ત્યાં પછી રહ્યું જ શું ? એટલે 'ક્રેડીટ', 'ડેબીટ' આપણને હવે થતું જ નથી.

'ક્રેડીટ' થાય તો દેવગતિ થાય. 'ડેબીટ' થાય તો જાનવરમાં જાય. એવું તેવું નથી થતું. પણ આ જે 'ક્રેડીટ', 'ડેબીટ', 'ડિસ્ચાર્જ' છે, તેની વાત કરીએ છીએ આપણે. એ અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું.

સમજો 'કરવાનું નથી' એને !

પ્રશ્નકર્તા : અમુક વ્યક્તિઓ એવું કહે છે કે શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા કશું કરતો જ નથી. માટે આપણને કશું નડતું જ નતી. કશું કરવાની જરૂર છે જ નહીં. પ્રતિક્રમણ કરવાની જરૂર છે જ નહીં.

દાદાશ્રી : એવું ખોટું બધું.

પ્રશ્નકર્તા : એટલે હવે એ એક વ્યૂ પોઈન્ટ (દ્રષ્ટિબિંદુ) થયો. બીજા શું કહે છે ? કે ભઈ, આપણે અમુક જે કર્મનો ઉદય આવ્યો, એ વખતે પ્રતિક્રમણ કરવાની જરૂર છે.

દાદાશ્રી : 'કશું કરવાની જરૂર છે' નહીં એમ કહે છે તો એને કહીએ, 'તમે કેમ જમો છો ? કશું કરવાનું નહીં.' કહો છો તો ? જમવાનું બંધ કરતા હોય તો કશું કરવાનું રહેતું નથી. પણ જમવાનું બંધ કરે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : ના, એ તો ચાલુ છે.

દાદાશ્રી : કશું કરવાનું નથી એનો અર્થ તો એવો કે કશું કર્તા ભાવ ના કરે. કરવાથી ભમરડા થઈ જાય !

પ્રતિક્રમણે ડિસ્ચાર્જ !

પ્રશ્નકર્તા : આપણને કંઈ અસર જ ના થતી હોય, રાગ-દ્વેષ થતા ના હોય, તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી ?

દાદાશ્રી : તને રાગ-દ્વેષ થતા નથી, તારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ આ ચંદુભાઈને થતા હોય તો ચંદુભાઈને કરવાની જરૂર ખરી ને !

પ્રશ્નકર્તા : ઘણીબધી વાર 'હું ચંદુભાઈ છું ' એવી જ રીતની વર્તના થયા કરે. ઘણાં લાંબા સમય પછી ખ્યાલમાં આવે. ઘણીવાર ખ્યાલમાં ય ના આવે તો શું એનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : જેટલું ખ્યાલમાં રહે એટલાં પ્રતિક્રમણ કરવા પડે.

પ્રશ્નકર્તા : શું કામ કરવાં પડે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો તું ક્યાં કરે છે ? એ તો ચંદુભાઈને કરવાનાં છે.

પ્રશ્નકર્તા : ચંદુભાઈને શું કામ કરવા પડે ?

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : બધું 'ડિસ્ચાર્જ' ફોર્મમાં છે તો પછી ?

દાદાશ્રી : ના, કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવાં પડે. તારી ક્રિયાથી કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવા પડે. દુઃખ ના થતું હોય તો કશું નહીં.

પ્રશ્નકર્તા : પણ આ ચંદુભાઈ છે એ તો 'ડિસ્ચાર્જ' જ છેને ? તો પછી પ્રતિક્રમણની શી જરૂર ? એ હજુ મને સમજાતું નથી.

દાદાશ્રી : પ્રતિક્રમણે ય 'ડિસ્ચાર્જ' છે જોડે. 'શી જરૂર' કહે છે, તે ય 'ડિસ્ચાર્જ' છે.

પ્રશ્નકર્તા : તો પછી એમ મનમાં થાય કે આટલાં બધાં પ્રતિક્રમણ કોણ કરે ? તો એ ય 'ડિસ્ચાર્જ' ?

દાદાશ્રી : એ ય 'ડિસ્ચાર્જ'. વાંધો નહીં ઉઠાવતા. આપણે બોલીએ અને સામાને દુઃખ થાય એવું થઈ ગયું હોય તો આપણે પ્રતિક્રમણ કરવાનું. કહેવું કે 'પ્રતિક્રમણ કર. આમ દુઃખ થાય એવું ના કરીશ.'

પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને કહે, 'મારે પ્રતિક્રમણ નથી કરવું'.

દાદાશ્રી : તો વાંધો નહીં. એ ઘડીવાર પછી સારો થાય, પછી પ્રતિક્રમણ કરાવવાનું. મોટું સાંજનું પ્રતિક્રમણ કરાવવાનું. આડા થાય એટલે કહીએ 'સૂઈ જા, બા.'

'સોરી' એ પ્રતિક્રમણ કહેવાય ?

પ્રશ્નકર્તા : અહીં અમેરિકામાં અજાણતાં પણ ભૂલ થઈ ગઈ હોય તો તરત 'સોરી' કહી દે છે. તો એ 'સોરી' પ્રતિક્રમણ જેવું કહેવાય ?

દાદાશ્રી : આ લોકો કહે છે તે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ 'સોરી' એ પ્રતિક્રમણ નથી. પણ એ વસ્તુ 'સારી છે'. એ પ્રતિક્રમણ નથી. પણ 'સોરી' કહેવાથી સારું છે કે મનમાં એટેકીંગ (આક્રમક) ભાવ ના આવે પેલાને. એટેકીંગ ભાવ આવતો હોય તે બંધ થઈ જાય. એટલે લોકોના શીખવાડવાથી 'સોરી' શીખી ગયો હોય તો ય ઘણું સારું. પણ પ્રતિક્રમણ જેવું તો એકુંય નહીં. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : આપણે અકર્તા છીએ તો પછી આ અતિક્રમણ કરે કે પ્રતિક્રમણ કરે જે કરે તે, આપણે શું ? આપણે તો જોયા કરવાનું ને ?

દાદાશ્રી : આપણે જોયા કરો. અતિક્રમણ કોણ કરે છે એને પ્રતિક્રમણ કરવાનું કહેવાનું કે 'ભઈ, અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ ના કર્યું હોત તો અમે તને કહેવાનાં ન હતાં.' એમ કહીએ.

પ્રશ્નકર્તા : શું આપણે પ્રતિક્રમણ એટલા માટે કરીએ છીએ કે, આપણો આવતો ભવ 'ઈઝી' જાય, સારો જાય ?

દાદાશ્રી : ચોખ્ખું કરવા માટે, ડાઘ પડેલો હોય, તેને તરત ચોખ્ખું કરી નાખીએ છીએ. નહીં તો ફરી પાછું ધોવા આવવું પડશે. એક ડાઘ પડે એટલે ધોઈ નાખો એને. અતિક્રમણ થયું એટલે ડાઘ પડ્યો. ગમે તે કલરનો ડાઘ પડી ગયો, તેને ધોઈ નાખીને પછી આપણે બેસવું. તે ઘડીએ ચંદુભાઈ આડા થયા હોય તો સાંજે ધોઈ નાખવાનું આખું ય ! પાંચ, સાત, દશ અતિક્રમણ થયાં હોય તો ભેગા પ્રતિક્રમણ કરી, સ્વચ્છ કરી નાખવાનું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યું એ ચોથી આજ્ઞા, સમભાવે નિકાલનો ભાગ છે ?

દાદાશ્રી : સમભાવે નિકાલ ને એને લેવાદેવા નહીં ને ! ફાઈલનો નિકાલ, એ તો જુદી વસ્તુ છે.

અક્રમમાર્ગમાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : એક જણને પ્રતિક્રમણ ઉપર તો એટલી બધી ચીઢ કે તે અમને એમ કહે કે તમે પ્રતિક્રમણ કરો તો તમે આત્મા નથી. પ્રતિક્રમણ કર્યું એટલે આત્મા ખોઈ નાખ્યો.

દાદાશ્રી : આ ક્રમિક માર્ગ એવો છે કે આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રતિક્રમણ ના હોય. એ પ્રતિક્રમણ કરે તો આત્મા ખોઈ નાખે.

પ્રશ્નકર્તા : પણ દાદા, અમે જે પ્રતિક્રમણ કરીએ છીએ તે આપની આજ્ઞા પ્રમાણે 'છૂટા રહીને કરીએ છીએ'.

દાદાશ્રી : હા, 'ચંદુભાઈ' કરે છે. જેણે ભૂલ કરી છે, જેણે અતિક્રમણ કર્યું છે, તે પ્રતિક્રમણ કરે છે.

ક્રમિકમાર્ગમાં આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ 'પોઈઝન' ગણાય છે. આપણે અહીં ય પ્રતિક્રમણ હોતું નથી. આપણે પ્રતિક્રમણ 'ચંદુભાઈ' પાસે કરાવીએ છીએ. કારણ કે આ તો અક્રમ, અહીં તો બધો જ માલ ભરેલો. શું નો શું માલ ભરેલો, એ પહોંચી જ કેવી રીતે શકે ? અને લોકોને મહીં શંકા રહે કે આ કઈ જાતનું ? આ બધાં મેડ (ગાંડા) માણસો, મોક્ષનો સત્સંગ શી રીતે કરે તે ? એટલે જગતે આખું વીંટી કાઢેલું કે મેડને અધિકાર જ નથી, મોક્ષનો સત્સંગ કરવાનો ? શુભાશુભનો સત્સંગ કરવાનો અધિકાર. ત્યારે મારે કહેવું પડે છે કે મેં જે જ્ઞાનની શોધખોળ કરી છે, તે બિલકુલ ઊંચી જાતની શોધખોળ કરી છે.

ક્રમિકમાર્ગમાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : એ ક્રમિકમાર્ગમાં પ્રતિક્રમણ હોય ?

દાદાશ્રી : ક્રમિકમાં પ્રતિક્રમણ છે પણ ક્રમિકમાં આ ગ્રેડમાં પ્રતિક્રમણ હોય નહીં. આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિકમાર્ગમાં પ્રતિક્રમણ એ 'પોઈઝન' જેવું છે. કારણ કે ક્રમિકમાં અતિક્રમણ કરે જ નહીં. એ ઊંચે દરજ્જે આવેલો માણસ અતિક્રમણ કરે જ નહીં. તો પછી પ્રતિક્રમણ શાનાં હોય ? એ ક્રમણવાળા હોય અને સેંકડે બે-પાંચ ટકા જેટલું અતિક્રમણ થાય. તે તો પાછું એને ફળ મળવાનું. બાકી એ અતિક્રમણ કરે જ નહીં.

અને આપણને તો અહીં આગળ ઓચિંતું જ જ્ઞાન મળ્યું ને એટલે જેવો માલ ભર્યો તે નીકળે, તેનું બધું પ્રતિક્રમણ કરવું પડે !

ક્રમિકમાર્ગમાં શુદ્ધાત્મા અનુભવ થયા પછી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી. અને આપણો આ અક્રમ માર્ગ ખરોને, એટલે માલ બધો જથ્થાબંધ ભરેલો ને આપણે શુદ્ધાત્મા થઈ ગયાં. એટલે આપણે આ માલ ખાલી થવાનો, તે પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પણ પ્રતિક્રમણ આપણે જાતે કરવાનું નહીં. આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણે ચંદુભાઈને કહેવાનું કે ભઈ, તમે આ બગાડ્યું છે, માટે તમે સુધારો. આ પ્રતિક્રમણથી લોકો જોડે વેરભાવ બંધ થઈ જાય, તમારે આ ભાઈ જોડે કંઈ ભાંજગડ હોય, એ ભાઈ કંઈ ઊંધું છતું બોલી ગયા હોય તો, તમને મનમાં દુઃખ થયું હોય, ને તેથી તમારા વિચારો એને માટે બગડ્યા હોય, ખરાબ ધ્યાન થયું હોય, તો તમારે એના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરી કરવાનું. એને નહીં, એના શુદ્ધાત્મા જોડે સીધું પ્રતિક્રમણ કરવાનું અને એ દોષથી મુક્ત થવાનું. ફરી નહીં કરું એવું પ્રત્યાખ્યાન કરવાનું એટલે એ દોષ ધોવાઈ જાય.

શુકલધ્યાન પછી પ્રતિક્રમણ એ પોઈઝન !

અને પ્રતિક્રમણ કરવાનું ના કહું તો ચાલે નહીં. હવે ખરી રીતે પ્રતિક્રમણ કરવાનું હોતું જ નથી. પ્રતિક્રમણને 'પોઈઝન' કહ્યું છે, પણ સંજોગવશાત્ છે આ.

પછી તમે કહો છો એ તદ્દન વાત સાચી છે, કે એ 'પોઈઝન' ગણાય છે, પ્રતિક્રમણ જો શુક્લધ્યાન થયા પછી. પણ આ પ્રતિક્રમણ જાતે નથી કરવાનું. આ પ્રતિક્રમણ જાતે કરે તો તો પછી શુક્લધ્યાન કહેવાય જ નહીં. તમે કોની પાસે કરાવડાવો છો ?

પ્રશ્નકર્તા : 'ચંદુભાઈ' પાસે કરાવડાવવાનું. પણ ચંદુભાઈને કહેનારો કોણ છે ?

દાદાશ્રી : આ મહીં જે પ્રજ્ઞાશક્તિ છે તે પ્રજ્ઞાની શક્તિ જ કામ કર્યા કરે છે.

પ્રશ્નકર્તા : જે સ્વભાવિક રીતે જઈ રહ્યું છે તેને પાછો મુકામ આપે છે.

દાદાશ્રી : એનાથી બહુ ઊંડા ઉતરશો તો મહીંથી કાદવ નીકળશે. આ તો 'સરકમસ્ટેન્સિયલ એવિડન્સ.' ઉનાળામાં સહુ કોઈ કહે કે ઓઢવાનું નહીં જોઈએ. બધાય કહે, પણ 'સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' ઓઢવાનું કરે. ઉનાળામાં મહીં તાવ ચઢ્યો તો ? ઓઢવાની જરૂર પડે. એટલે આ 'એવિડન્સ' છે. 'એવિડન્સ'ને પેલી રીતે મપાય નહીં કે ઉનાળામાં ના કહેતા હતા તે કેમ ઓઢવાનું માંગો છો ? અરે ભાઈ, તાવ ચઢ્યો, આલ ને બા ઓઢવાનું. તું વગર કામનો સમજુ નહીં. અને પોતાને કરવાનું નથી આ. પ્રતિક્રમણ ચંદુભાઈ પાસે કરાવડાવે છે, જે અતિક્રમણ પોતે કરતો નથી, તો પ્રતિક્રમણ પોતાને કેવું કરવાનું હોય તે ?

શુદ્ધાત્માનું જ્ઞાન થયા પછી પ્રતિક્રમણની જરૂર હોતી નથી. આ તો અક્રમ છે તેથી પ્રતિક્રમણ કરવું પડે.

નથી જરૂર 'એને' પ્રતિક્રમણની....

જ્ઞાન આપીએ છીએ ત્યારે બોલીએ છીએ તું શુદ્ધાત્મા છે, એક્ઝેક્ટ ? હા. તો આ શું રહ્યું ? એ તારું 'વ્યવસ્થિત'. વ્યવસ્થિતનો અર્થ શો ? ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવું, તે વ્યવસ્થિતનો અર્થ. ચંદુભાઈએ કો'કનું નુકસાન કર્યું, બે લાખનું, તો એમ આપણે જોયા કરવાનું. પછી ના સમજણ પડે એટલે કહીએ છીએ 'પ્રતિક્રમણ કર'. વ્યવસ્થિત એટલે જે છે તે એક્ઝેક્ટ જોયા કર. એટલે તમે છૂટા.

પ્રતિક્રમણ શેનાં કરવાનાં કે 'આપણાં' 'વિપરિણામ'ને લીધે આ સંયોગો ભેગા થાય છે, તે પ્રતિક્રમણથી ભૂંસાઈ જાય. ખરી રીતે દર અસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલથાપ ખાઈ જાય તેથી. અસલ સાયન્ટિસ્ટ તો આંગળી ઘાલે જ નહીં. 'ધ વર્લ્ડ ઈઝ ધ સાયન્સ' ! (આ જગત વિજ્ઞાન છે.)

એમાં નથી જરીકે વિરોધાભાસ !

પ્રશ્નકર્તા : આપની વાણી નિમિત્ત આધીન ખરીને, એટલે ઘણી વખત પ્રતિક્રમણ કરવાની 'દાદા' ના કહે છે, ઘણી વખત પ્રતિક્રમણ કરવાનું કહે છે. તો આ કેવી રીતનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર નથી એવું અમે ના બોલીએ. અને એ તો કોઈ ફેરો બોલ્યા હોય તો એનું કોઈ ખાસ એવું મહત્ત્વ નથી હોતું એવા સંજોગ હોય છે. એ તો સંજોગ પ્રમાણે વાણી હોય છે.

પ્રશ્નકર્તા : એટલા માટે આ 'પઝલ' ઊભું થયું છે.

દાદાશ્રી : ના, એ પઝલ ઊભું કરવાની જરૂર જ નથી.

અને એક જ બાજુ અમારું વાક્ય ના હોય હમેશાં. બધાં સંજોગ પ્રમાણે હોય અને 'ડીપેન્ડ અપોન' (આધાર રાખે) સામાને શું સંજોગ છે !

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : અને કંટાળી જાય એવો કોઈ હોય, તો ય એમ કરીને ય પણ એને આગળ લાવીએ અમે. સામો કંટાળી જાય એવો હોયને, તો ઉપરતી આ બોજો નાખીએ તો... ? એટલે એને આપણે કહીએ કે આ કરવાની જરૂર નથી. તું તારું બીજું આ કર. એમ કરીને અમે આગળ ચલાવીએ. એટલે અમે સંજોગ પ્રમાણે વાણી બોલીએ. પણ મૂળ અભિપ્રાય તો અમારે 'પ્રતિક્રમણ કરવા' એ જ હોય.

પ્રશ્નકર્તા : એ પેલાનો ઉલ્લાસ તૂટી ના જાય એટલા માટે....

દાદાશ્રી : એ તો આટલું કરતા હોય તેમાં પ્રતિક્રમણ આવે ત્યારે બોજો સહન ના થાય, એટલે બધું ય નાખી દે. એટલે બધાને જુદું જુદું બોલવું પડે મારે.

એટલે પછી અમે આગળ પાછળ બોલ્યા હોઈએ કે અમારી વાણી સંજોગોના આધીન હોય છે, સંજોગ પ્રમાણે. એટલે લોકો ઊંધું પકડતા નથી. પણ જેને ઊંધું પકડવું હોય તેને બધું જડી આવે.

અને ઊંધું પકડે તેનો ય વાંધો નથી એ પકડે, એનાં એ જ કાઢી નાખે. આ તો વિજ્ઞાન જ એવું છે કે એ જે ઊંધું પકડેને, એ જ એને ખૂંચે પાછું. એટલે એની આપણે વરીઝ (ચિંતા) નથી રાખવાની.

એટલે આપણે શું કહ્યું કે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અને પ્રતિક્રમણ થઈ રહ્યું હોય, તો જોયા કરો.

શું માફી માંગવાની આત્માએ કરીને ?

પ્રશ્નકર્તા : આ જે ક્ષમા માંગે છે એ પ્રતિષ્ઠિત આત્મા જ ક્ષમા માંગે ને ?

દાદાશ્રી : હા, મૂળ આત્માને માગવાની જરૂર શી તે ? જે ગુનો કરે તેને માગવાની જરૂર. પ્રતિષ્ઠિત આત્માએ ગુનો કર્યો માટે પ્રતિષ્ઠિત આત્મા માંગે.

આ અતિક્રમણ તો શું, બીજું બધું જ ચંદુભાઈ કરે છે. એમાં આત્મા કશું કરતો નથી. એ તો ખાલી પ્રકાશ જ આપે છે.

મહાવીરે નિહાળ્યા નિજ પુદ્ગલને જ !

દાદાશ્રી : હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?

દાદાશ્રી : પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો કોઈ ? જો આ, સોંપેલું એવું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે. ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ખાવ ને ટેબલ ઉપર નિરાંતે બેસીને જમો ને ! કોઈ બાપો ય વઢનાર નથી. ઉપરી છે જ નહીં કોઈ. ઉપરી હતી તમારી ભૂલો અને તમારા 'બ્લન્ડર્સ'. 'બ્લન્ડર્સ' દાદાએ તોડી આપ્યાં. અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દશ, કોઈ દા'ડો ભૂલો દેખાય છે ?

પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી, પાંચ-પાંચ, દસ-દસ ભૂલો દેખાય છે ને તેને ખમાવું છું.

દાદાશ્રી : ના, એ પ્રતિક્રમણ શીખવું પડશે. કારણ કે આ અક્રમ માર્ગ છે, હંમેશા ય અત્યારે કોઈ આચાર્ય મહારાજ હોય તે કહેશે કે તમે આત્મજ્ઞાન લાધ્યા પછી પ્રતિક્રમણ શાનું કરો છો ? સમજ પડીને ? પણ આ અક્રમમાર્ગ છે. એટલે આપણે શું કરવાનું ? પોતાને નહીં કરવાનું. તમારે ચંદુભાઈને કહેવાનું કે 'ચંદુભાઈ' 'તમે આ અતિક્રમણ કર્યુ છે માટે પ્રતિક્રમણ કરો.' કારણ કે આપણે છૂટ્ટા થયા, પણ આ 'ચંદુભાઈ છૂટ્ટા થાય તો 'આપણે' છૂટ્ટા થઈએ.' આ પરમાણુઓ ચોખ્ખા કરીને મોકલવા પડશે. 'આપણા' નિમિત્તે એવું બગડ્યું છે.

પ્રશ્નકર્તા : ચંદુભાઈનો લોચો ઊભો છે હજુ, એને શુદ્ધ કરો.

દાદાશ્રી : હા, તે આ દાદાની વિધિ કરે છે તે આત્મા નથી વિધિ કરતો. આપણે ચંદુભાઈને કહેવાનું કે ભાઈ, દાદાની વિધિ કરી લો, બા. હજુ તો આપણે ચોખ્ખું કરવાનું છે.

એટલે આપણે આત્મા તરીકે જાણ્યા કરવાનું કે આજે દાદાની વિધિ કરી, કેમ કરી, કેવી નહીં, એ બધું આપણે જાણ્યા કરવાનું.

નિરંતર જાણવું એ 'આપણું' કામ અને નિરંતર કરવું એ 'ચંદુભાઈનું' કામ. 'ચંદુભાઈ' નોકર અને 'આપણે' શેઠ. હા !

પ્રશ્નકર્તા : સારું થયું. હું શેઠ થઈ ગયો, જામ્યું આ તો !

દાદાશ્રી : હા અને પાછું 'ચંદુભાઈ' નોકર એટલે તમારે રોફ રાખવાનો. અને કહેવાનું કે ટેબલ પર બેસીને 'ચંદુભાઈ' જમો. રોફથી જમો. હવે અમે છીએ તમારી સાથે. ત્યારે કહેશે. મહારાજ ના કહેતા'તાને ? ત્યારે કહીએ. મહારાજ ના કહે. પણ તમે રોફથી જમો. આપણને હવે દાદા મળ્યા છે. ટેબલ તો વાપરો. ના હોય તો લાવવું !!!

જેણે અતિક્રમણ કર્યું તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું. 'આપણે' નહીં કરવાનું. આપણે જાણનાર, ચંદુભાઈ શું કરે છે એના તમે જાણનાર પછી વાંધો ખરો ? મહાવીરે ય આ જ કરતા હતા. મહાવીર એક પુદ્ગલને જોયા કરતા હતા. નિરંતર એક પુદ્ગલમાં જ. આ બધા લોકોનાં પુદ્ગલ જોવા ના જાય. એક જ પુદ્ગલ જુએ.

'મારું નથી' એ થાય કોને ?

પ્રશ્નકર્તા : દાદા એમ થાય કે આ મારું નથી તો બી ત્યાં પકડાઈ જાય.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. તે કોણ પકડાયા ?

પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, નહીં કરવી જોઈએ તો પણ થઈ જાય.

દાદાશ્રી : ચંદુભાઈને થઈ કહેવાયને પણ ! આપણે ક્યાં કરીએ છીએ.

પ્રશ્નકર્તા : ત્યારે આપણને એમ થાય કે આ નાલાયકીભરી 'ચંદુભાઈમાં' કેટલી છે !

દાદાશ્રી : ના, ના, 'ચંદુભાઈ' પકડાઈ જાય. કારણ કે 'ચંદુભાઈ'એ કર્યું છે એટલે પકડાઈ જાય એટલે બળજબરી કરીને પ્રતિક્રમણ કરો કહે. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈ પકડાઈ જાય. તમે તો ના પકડાઓ ને ?

તમારે તો ચંદુભાઈને એમ કહેવું, પાડોશી તરીકે કે આવા દોષ કરીને તમે શું છૂટા થવાના ? 'તમારે' અમારાથી છૂટા થવાનું છે અને 'તમને ચોખ્ખા થવાનું છે. માટે તમે છે તે પ્રતિક્રમણ કરો.' ફક્ત એવું કહેવાનું. અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું. સારા સારાનું કરવાનું નહીં.

એનાથી છૂટું પડતું જાય...

પ્રશ્નકર્તા : અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીયે કે એ ખોટી છે. આવું ના હોવું જોઈએ. છતાં ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ?

દાદાશ્રી : એ આપણે છોડીએ છીએ ને છૂટી જઈએ છીએ. જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એનાં પ્રતિક્રમણ કરીએ તેમ તેમ વેગળી થાય. જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય.

પ્રશ્નકર્તા : પછી દાદાના ફોટા પાસે આવીને રડું ય ખરી.

દાદાશ્રી : હા, પણ જેટલાં પ્રતિક્રમણ કરીએ એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય. આ બેન હવે ત્રણ મહિનામાં એક વખતે જ ઘરમાં ભાંજગડ કરે છે. રોજ બે-ચાર વાર કરી હતી એટલે નેવું દિવસમાં ત્રણસો સાઈઠ વાર કરતી હતી. તેને બદલે એક જ વાર કરે છે. એવું તમારે ય થઈ જશે. આની જેમ બીજી એક બેન પણ રોજ ઘરમાં વઢમ્વઢા કરે. ઊંધું ઊંધું બોલ્યા કરે. એને આ પ્રતિક્રમણ કરવાથી જ એનું છૂટું થવા માંડ્યું. એ રોજ પ્રતિક્રમણ કરે. તું પ્રતિક્રમણ કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા, કરું છું દાદા.

પ્રશ્નકર્તા : આ સંસારની એક પણ ચીજ ભોગવવી નથી એવો નિશ્ચય છે, પણ જ્યારે અંદરથી અમુક એવી ઇચ્છા નીકળે છે તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે. તો શું કરવું ?

દાદાશ્રી : તો એનું પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું. ફરી ન કરું માટે માફ કરજો.

પ્રતિક્રમણ એ છે પૌદ્ગલિક પણ પુરુષાર્થ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણને પૌદ્ગલિક કહ્યું તો તે વ્યવસ્થિતને આધીન થયું ને ?

દાદાશ્રી : ના. પ્રતિક્રમણ એ આત્મા નથી. એ પૌદ્ગલિક છે. પણ એ પુરુષાર્થ છે, જાગૃતિને આધીન છે. જાગૃતિ એ જ પુરુષાર્થ છે, જાગૃતિ રહી પછી કરવું ના પડે. થયા કરે. જાગૃતિ એ પુરુષાર્થ છે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં એવું કરું છું કે અનંતા ભવોનાં પુદ્ગલનોનાં પર્યાયો કર્યા હોય, અંતરાય કર્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : આપણે તો દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ એમાં પુદ્ગલ પર્યાયો આવી જ જાય છે.

જગત ચલાવે પુદ્ગલ !

પ્રશ્નકર્તા : પુદ્ગલ અતિક્રમણ કેવી રીતે કરે ?

દાદાશ્રી : પુદ્ગલ તો અતિક્રમણ એકલું જ ના કરે, પુદ્ગલ તો, આ જગત જ આખું પુદ્ગલ ચલાવી રહ્યું છે. લઢાઈઓ જ પુદ્ગલ ચલાવી રહી છે. આ બધું જ પુદ્ગલ ચલાવી રહ્યું છે. એ જ્ઞાનીઓની ભાષા બીજાઓ કેમ સમજમાં આવે ? જ્ઞાનીઓ જોઈને કહે છે, જ્યારે બીજાને પ્રતીતિમાં લાવવાનું છે.

આ બધું પુદ્ગલ જ છે બધું.

પ્રશ્નકર્તા : પુદ્ગલનું જે થયા કરે છે, તે વ્યવસ્થિતના ધોરણે થયા કરે છે. પણ તે અતિક્રમણ કેવી રીતે કરી શકે ?

દાદાશ્રી : ક્રમણ કરી શકે અને અતિક્રમણ પણ બધું જ એ જ કરે છે ને ત્યારે ?

પ્રશ્નકર્તા : એ પુદ્ગલમાં આત્માનું ચેતન ભળે તો જ થાય ને ?

દાદાશ્રી : એનું નામ જ પુદ્ગલ કહેવાય. આ જે પુદ્ગલ પરમાણુ છે. એ તો આપણે પુદ્ગલ કહીએ છીએ, એટલું જ છે. એ પરમાણુ છે એ તો આ પુદ્ગલને તો ભગવાને મિશ્રચેતનને કહ્યું છે. પુદ્ગલ પરમાણુ એટલે શું ? મિશ્રચેતન. ચૈતન્યભાવથી ભરેલું, તેને પુરણ થવું એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું 'ચાર્જ' થાય છે, પૂરણથી 'ચાર્જ' થાય છે ને 'ડિસ્ચાર્જ'થી ગલન થાય છે અને અતિક્રમણ એ ગલન છે. જ્ઞાન પછી પણ એ અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે. સ્વપરિણતી થયું હોય તો પૂરણ છે. પરપરિણતી થઈ હોય તો ગલન છે.

પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ કરે તો એને તો રાગાદિ કશું હોય નહીં, તો પછી એમને અતિક્રમણ શું ને પ્રતિક્રમણ શું ?

દાદાશ્રી : રાગદ્વેષ બધું ચંદુભાઈને (બાવો) જ છે.

માફી કોણ કોની માગે ?

આપણું પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું પ્રતિક્રમણ છે. ક્રમણ માટે નથી. આપણે સામાના શુદ્ધાત્માને ફોન કરીએ તે એમને તરત પહોંચી જાય અને એનો શુદ્ધાત્મા ય તમારો ફોન પુદ્ગલને ધકેલે. પ્રતિક્રમણ માણસો સાથે કરવાનાં હોય, જડ સાથે નહીં.

પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મા છો, એટલે તમારે પ્રતિક્રમણ નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું એ પણ શુદ્ધાત્મા પર નથી કર્યું. એ સામાના પુદ્ગલ માટે થાય છે. તો પ્રતિક્રમણની માફી જે માગીએ આપણે, એ સામાના શુદ્ધાત્માની માફી માગવાની કે એના પુદ્ગલની માફી માગવાની ?

દાદાશ્રી : શુદ્ધાત્માની માફી માંગવાની. તે માફી માગનાર કોણ પાછો ? પુદ્ગલ. અને તે સામાના શુદ્ધાત્માની પાસે માફી માગવાની છે. હે શુદ્ધાત્મા ભગવાન ! તમારી સાક્ષીએ માફી માગું છું.

પ્રતિક્રમણ પણ પુદ્ગલનું !

પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ પુદ્ગલનું કરીએ છીએ કે કોનું કરીએ છીએ ?

દાદાશ્રી : પુદ્ગલનું જ બીજા કોનું ?

પ્રશ્નકર્તા : પુદ્ગલનું ને ! તો એવી રીતે આપણા પુદ્ગલનું પણ પ્રતિક્રમણ થઈ શકે કે નહીં ?

દાદાશ્રી : આપણા જ પુદ્ગલનું કરવાનું. સામાના પુદ્ગલનું તો એને નુકસાન થયેલું હોય ત્યારે કરવું પડે, નહીં તો આપણા જ પુદ્ગલનું પ્રતિક્રમણ કરવાનું છે ને ?

પ્રશ્નકર્તા : એ આપણા પુદ્ગલનું પ્રતિક્રમણ કોણ કરે છે ?

દાદાશ્રી : એ બધું આપણી પ્રજ્ઞા કરે છે.

પ્રતિક્રમણ કરવાનું કહે કોણ ?

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે બોલીએ છીએ કે, 'મન, વચન, કાયાથી તદ્દન ભિન્ન એવા શુદ્ધાત્મા ! એવું નથી બોલતાં ? તો પછી કેમ પુદ્ગલનું કહેવાય ?'

દાદાશ્રી : એ તો શુદ્ધાત્મા પાસે માફી માગું કે મારાથી આ ભૂલ થઈ એની માફી માગું છું.

પ્રશ્નકર્તા : પણ માફી શુદ્ધાત્મા પાસે માગવાની ? અને પ્રતિક્રમણ પુદ્ગલનું કરવાનું ?

દાદાશ્રી : નહીં, પ્રતિક્રમણ ને માફી એક જ વસ્તુ છે. એના શુદ્ધાત્મા પાસે માફી માગવાની કે આ તમારા પ્રતિષ્ઠિત આત્મા જોડે મારે જે ભૂલ થઈ છે, તેની માફી માગું છું.

પ્રશ્નકર્તા : જે માણસે જ્ઞાન ના લીધું હોય, તો ય એવી જ રીતે પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : ના થાય. એ ચાલે નહીં ને ! જ્ઞાન લીધું ના હોય તેણે તો એમ ને એમ માફી માંગી લેવી જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધું હોય ને સામા નિમિત્તે જ્ઞાન ના લીધું હોય તો ?

દાદાશ્રી : તેનો વાંધો નહીં. સામાએ જ્ઞાન ના લીધું હોય તેનો વાંધો નહીં. આપણે પ્રતિક્રમણ કરી શકીએ.

પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો તો એ કહેનાર કોણ ? કોણ એવું કહે ?

દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : આપણે આપણું પ્રતિક્રમણ કરીએ, ત્યારે એકચ્યુઅલી પુદ્ગલ શુદ્ધાત્માનું કરે છે ને ?

દાદાશ્રી : એ એના શુદ્ધાત્માને કરે છે. એ આપણા શુદ્ધાત્માના. એટલે આ પ્રજ્ઞાશક્તિ. આ પ્રતિક્રમણમાં પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધ ચેતન કામ કરે છે.

પ્રશ્નકર્તા : અતિક્રમણ બીજાને માટે નહીં પણ પોતાને અંગે પણ થઈ શકે.

દાદાશ્રી : પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે 'હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો ભઈ, તમે કેમ આવી ભૂલો કરો છો ?

જુદો દોષ ને દોષને જાણકાર !

પ્રશ્નકર્તા : દોષને જાણીએ તો દોષ કહેવાય કેમ ?

દાદાશ્રી : તમે જાણકાર છો. તો જાણકારનો દોષ નથી. પણ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે. એનો ક્રમણનો વાંધો નથી. પણ કોઈને ટૈડકાવતા હોય, ત્યારે પોતે ચંદુભાઈને દોષ છે, એમ ચંદુભાઈને કહે. આ અક્રમ છે, એમાં જોવાનો માલ એકલો શુભ જ હોય તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાયક હોય પછી અશુભનો ય શું વાંધો ?

દાદાશ્રી : એવી જાગૃતિ હોય નહીં ને ! તેથી અમે પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ.

આ ખોખું છે, એ આત્માના પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ. તે આ ખોખું ય ભગવાન જેવું બનાવવાનું છે. તેથી પ્રતિક્રમણ કરવાનું ને ! ક્રમિકમાર્ગમાં તો બધું શુભ જ હોય. તેથી તેમને પ્રતિક્રમણ હોય નહીં. ત્યાં તો પ્રતિક્રમણને દોષ ગણ્યો છે. ત્યાં તો ક્રમણ, શુભ એકલું જ હોય.

તો પ્રતિક્રમણ નહીં !

પ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : હા, એ વિચાર તરત એને પહોંચે, ને નું મન બગડે. પ્રતિક્રમણ કરો તો એનું બગડેલું હોય તો ય સુધરે. કોઈને કશું ખરાબ વિચારાય નહીં.

પ્રશ્નકર્તા : કોઈના માટે ખરાબ વિચાર આવ્યો એ વિચારને તો હું જોઉં છું.

દાદાશ્રી : જોનાર હોય તો વાંધો નહીં. પણ જોવાનું રહી ગયું તો પ્રતિક્રમણ કરવું. જોયું તો એની મેળે ઊડી જાય. એને જ્ઞાનથી 'કરેક્ટ' જોઈ શકતા હોય તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : છૂટાં રહીને જોઈ શકતા હોય તો આવાં વિચાર જ ના આવે.

દાદાશ્રી : આવે. તદ્દન છૂટાં રહે તો ય આવે. એ તો ભરેલો માલ છે ને ! 'ઇફેક્ટ' આવ્યા વગર રહે નહીં.

જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં દોષ ઊડ્યો !

પ્રશ્નકર્તા : પોતાના જ દોષ થયા હોય તો ?

દાદાશ્રી : એ તો જોવા. પારકાના દોષ દેખાય એટલે પ્રતિક્રમણ કરીને ઉડાડી મેલવા.

પ્રશ્નકર્તા : આપણે દોષના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, એટલે ધોવાઈ જાયને કે પછી પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : પછી દોષ જ રહ્યો નહીં ને ? આ તો ખબર પડતી નથી તે ઘડીએ પોતે આવો 'જ્ઞાતા-દ્રષ્ટા' રહ્યો નથી.

જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં કરવાનું નહીં કશું !

જાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા હોય, ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. તે પ્રતિક્રમણ હવે 'તમારે' કરવાનું નથી. 'જ્ઞાતા-દ્રષ્ટા' છે તે 'કરે' નહીં અને 'કરે એ જ્ઞાતા-દ્રષ્ટા' નહીં એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ કરવાનું. જેણે અતિક્રમણ કર્યુંને, તેને જ 'આપણે' કહીએ 'તમે' પ્રતિક્રમણ કરો.

આક્રમણખોર હોય તેને જ કહીએ તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય.

અહંકાર અતિક્રમણ ને પ્રતિક્રમણમાં !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કોણ કરે છે ?

દાદાશ્રી : અતિક્રમણ કરે છે તે.

પ્રશ્નકર્તા : અતિક્રમણ પણ કોણ કરે છે ?

દાદાશ્રી : અતિક્રમણ એ અહંકાર કરે છે.

પ્રશ્નકર્તા : અતિક્રમણ અહંકાર કરે છે તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું ?

દાદાશ્રી : હા, પ્રતિક્રમણે ય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, 'અતિક્રમણ કેમ કર્યું ?' પ્રજ્ઞા શું ચેતવે ? 'અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.'

પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞા 'રીલેટિવ'માંથી આવે છે કે 'રીયલ'માંથી.

દાદાશ્રી : એ 'રીયલ'માંથી આવે છે. એટલે એ 'રીયલ'માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની શક્તિઓ. રીયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રીલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અજ્ઞા હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે, અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતાં સુધી છોડે જ નહીં. જે ટાઈમે અહીંથી દેહ છૂટ્યો, ને મોક્ષની તૈયારી થઈ, એ ટાઈમે પ્રજ્ઞા આત્મામાં સમાવેશ થઈ જાય એ કંઈ જુદી શક્તિ નથી.

પ્રશ્નકર્તા : એટલે અહંકાર પછી 'રિલેટીવમાં' જ આવે ને ?

દાદાશ્રી : બધું રીલેટિવમાં જ જાય.

પ્રશ્નકર્તા : તો દાદા, રીયલ અને રીલેટીવ બે જુદાં છે, પછી આપણને શું કરવા વચ્ચે ભેગા થવાની જરૂર આવી ? પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? રીલેટિવમાં આપણે પડવાની શી જરૂર ?

દાદાશ્રી : 'રીલેટિવમાં' પડવાની જરૂર નથી. પણ સામાને દુઃખ થયું તે 'આપણે' ચંદુભાઈને (પોતાની જાતને) કહેવું જોઈએ કે, 'ભઈ, આને દુઃખ કેમ કર્યું ? માટે તમે પ્રતિક્રમણ કરો.' બસ, એટલે ધોઈ નાખવો. ડાઘ પડ્યો કે ધોઈ નાખીએ. આપણે 'રીલેટિવ' કપડું પણ ચોખ્ખું રાખવાનું.

પ્રશ્નકર્તા : દાદા, આ દુઃખ પહોંચાડે છે, તે 'રીયલ' પહોંચાડે છે ?

દાદાશ્રી : 'રીયલ' તો કશું કરતું જ નથી. બધું 'રીલેટિવમાં' જ છે અને દુઃખે ય 'રીલેટિવને' પહોંચે છે. 'રીયલને' પહોંચતું નથી.

દુઃખ કોને થાય ?

પ્રશ્નકર્તા : દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે ?

દાદાશ્રી : હા. અહંકારને દુઃખ થાય છે.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણની શી જરૂર છે ? રીલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે ?

દાદાશ્રી : પણ પેલાને દુઃખ થયું. એનો ડાઘ આપણા રીલેટિવ ઉપર રહ્યો ને ! એ રીલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે, સમજ પડીને ? ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમ ને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવા.

પ્રશ્નકર્તા : એટલે 'રીલેટિવ' ચોખ્ખું રાખવું જરૂરી છે ?

દાદાશ્રી : એવું નથી. 'રીલેટિવ' જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી, ક્રમણથી પણ એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. અને તે કો'ક વખત થાય છે. રોજ થતું નથી અને ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ. પણ કરવું એ સારું છે.

પ્રશ્નકર્તા : આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી તો આ પ્રતિક્રમણ કરવાની આપણા હાથમાં કેવી રીતે હોય ?

દાદાશ્રી : અતિક્રમણની સત્તા નથી. પ્રતિક્રમણ તો આ મહીં ચેતવણી આપે છે, મહીં જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ તે ચેતવે.

સ્થૂળ અને સૂક્ષ્મમાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કોણ કરે ?

દાદાશ્રી : જે અતિક્રમણ કરે છે તેની પાસે પ્રતિક્રમણ કરાવવામાં આવે છે. અતિક્રમણ કરે છે તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવામાં આવે છે.

પ્રશ્નકર્તા : અહીંયાં મને સ્થૂળ વાત કહો ને, કે આ પ્રતિક્રમણ શરીર કરે ને ? હું ચંદુભાઈને જઈને કહું કે 'મેં તમને કાલે આપેલું, મને માફ કરો.' એ પ્રતિક્રમણ શરીરે જઈને કહે એટલે આ સ્થૂળ વસ્તુ થઈ તો એમાં સૂક્ષ્મ વસ્તુ કંઈ છે ?

દાદાશ્રી : કેમ ? અંદર જે પ્રતિક્રમણ કરવાનો ભાવ થયો તે સૂક્ષ્મ છે. અને આ બહાર જે થયું એ સ્થૂળ છે. આ સ્થૂળ ના થયું હોય તો ય ચાલે. એટલે સૂક્ષ્મ કરે તો બહુ થઈ ગયું. અને જેણે અતિક્રમણ કર્યું તેને જ પ્રતિક્રમણ કરાવડાવીએ, કે ભઈ, તું કર, બા. તે અતિક્રમણ કર્યું માટે તું પ્રતિક્રમણ કર. તું કર ને શુદ્ધ થઈ જા. એટલે આ અતિક્રમણવાળાને ભાગી નખાવડાવાનું કે ભાઈ, હવે શું કામ આમ કરો છો ? સમજ પડીને ? પ્રતિક્રમણ જેવો કોઈ રસ્તો નથી.

જો 'સાયન્ટીફિક' રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તો ય વાંધો નથી. પણ 'સાયન્ટીફિક' રીતે આપણા લોકોને રહેતું નથી એટલે તમારે આવું કંઈક બોલવું જોઈએ. કારણ કે એ બોલે છે તે શુદ્ધાત્મા નથી બોલતો. એ છે તે પ્રજ્ઞા નામની શક્તિ બોલે છે. સમજ પડીને ? એટલે શુદ્ધાત્માને બોલવાનું હોય જ નહીંને ! એટલે પ્રજ્ઞા નામની શક્તિ કહે કે 'આવું કેમ કરો છો ? આવું ના હોવું જોઈએ.' બસ આટલું કહે. બસ થઈ ગયું. સમજ પડીને ? અગર તો કો'કને ખરાબ લાગે એવું વર્તન થયું તો પ્રજ્ઞા નામની સક્તિ ચંદુભાઈને કહે કે, 'તમે પ્રતિક્રમણ કરી નાખો, પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન કરો.' બસ એટલું જ. આમાં છે કાંઈ અઘરું કશું ?

ફરી ફરી પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એક વખત કર્યું પણ પછી ફરી પાછું એવું અતિક્રમણ કરે તો ?

દાદાશ્રી : ફરી થાય તો ફરી પ્રતિક્રમણ કરવાનાં. ફરી પ્રતિક્રમણ કરો. બધું બંધ થઈ જશે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની વાત શબ્દથી નહીં, પણ અનુભવ પકડે તો જ એને તરત જ ખ્યાલ આવી જાય છે. એનું પરિણામ આવે છે.

દાદાશ્રી : એ તો આપણા મહાત્માઓને તો અનુભવ થઈ ગયા. પણ બહારવાળાને અનુભવ થતાં વાર લાગે ને ! જેટલું ઊંધું ચાલ્યા એટલું પ્રતિક્રમણ કરીએ, એટલે પછી પાછા આવીએ એટલે રહી ખોટ !

પ્રશ્નકર્તા : પછી ખોટ ના રહી.

સવળીએ ચઢેલું !

દાદાશ્રી : જ્ઞાન પછી મહીં સવળું જ ચાલ્યા કરે. પહેલાં તો આખો દહાડો ય મહીં અવળું ચાલ્યા કરે. આ જ્ઞાન સવળું જ કર્યા કરે. તું સામાને ધોલ ચોપડી દઉં, તો ય પણ મહીં કહેશે, 'ના ના, એમ કરાય નહીં, પ્રતિક્રમણ કરો.' અને પહેલાં તો જ્ઞાન ના લીધું હોયને ત્યારે તું ચોપડી દઉને, તેની જોડે એ કહેશે, 'વધારે આપવા જેવી છે. આમ કરવા જેવો જ છે.' એટલે આ તમને જે અંદર ચાલ્યા કરે છે ને, તે સમકિત બળ છે, જબરજસ્ત બળ છે ! એ રાત દહાડો ચાલ્યા કરે. નિરંતર ચાલ્યા કરે !!

પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરી રહી છે ?

દાદાશ્રી : હા, પ્રજ્ઞા કામ કરી રહી છે, મોક્ષે લઈ જવાને માટે આ બધું બિસ્તરાં-પોટલાં બધું ઘસેડીને મોક્ષમાં લઈ જાય.

'અક્રમ'માં ક્ષાયક પ્રતીતિ !

જ્યારે કો'કની જોડે ઝગડો થાય તો આપણા મહાત્માને તો પ્રતીતિ ના જાય. લક્ષ ચૂકી જાય, પ્રતીતિ ના જાય કારણ કે પ્રતીતિ ક્ષાયક પ્રતીતિ છે. પ્રતીતિ ક્સણવારે ય ના જાય. ઝધડામાં ય ના જાય. કો'કની જોડે ઝગડતાં હો તો અમે અહીં ઠપકો ના આપીએ. જ્ઞાની જ્ઞાની ઝગડતા હોય તો અમે ઠપકો ના આપીએ. અમે જાણીએ કે ફાઈલનો નિકાલ કરે છે. પછી તરત જ પ્રતિક્રમણ કરવા માંડે, આપણે કહેવું ના પડે એની મેળે જ પ્રતિક્રમણ કરવા માંડે, આમાં પ્રતિક્રમણ એવી રીતે હોય છે.

એ પોતે શુદ્ધાત્મા, મહીં આ ક્રિયા કરનારું છે તે, પ્રજ્ઞાભાવ કહેવાય છે. અને એ પ્રજ્ઞાભાવથી એમને કહે 'તમે પ્રતિક્રમણ કરો. એમ જુદી રીતે વાત થાય. એ પોતે ચંદુભાઈને કહે કે, તમે પ્રતિક્રમણ કરો, તમે આવું કર્યુ, અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અતિક્રમણ એટલે તમે આવતા હોય ને એમનો ભાવ સહેજ બદલાયો હોય. તમને ખબર ના પડી હોય, કોઈને ય ખબર ના પડી હોય. પણ પોતે જાણે ને કે આ ભાવ મારો બદલાયો હતો એટલે. તરત જ કહે છે કે 'પ્રતિક્રમણ કરો એમના નામનું.' તમારા નામનું પ્રતિક્રમણ કરે. 'શૂટ ઑન સાઈટ.' એક પ્રતિક્રમણ બાકી રહી જાય નહીં. શૂટ ઑન સાઈટ.

પાડોશીભાવે પ્રતિક્રમણ કરાવવાં !

પ્રશ્નકર્તા : નિશ્ચયનું લક્ષ રાખ્યું. શુદ્ધાત્મા 'કર્મબંધ' કરતો જ નથી. તો પછી પ્રતિક્રમણ શું કરવાનાં ?

દાદાશ્રી : પાડોશભાવ છે આ. પાડોશીનું આપણે એ રાખીએ છીએ, નિકટનાં પાડોશી 'ફર્સ્ટ નંબર' તે પાડોશભાવ, તે આપણે એને સમજણ પાડવી કે ભઈ, તમે આ અતિક્રમણ કર્યું છે એટલે પ્રતિક્રમણ કરજો. નહીં તો જોખમદારી આવશે ! અતિક્રમણનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. નહીં તો આ અક્રમમાર્ગનું આવ્યું છે. તે કંઈ એમ ને એમ હોલવાઈ ના જાય. કોઈ વસ્તુ એમ ને એમ હોલવાય નહીં, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના સિવાય આ જગતમાં કોઈ વસ્તુ હોલવાય નહીં ને મોક્ષે જાય નહીં.

અપરાધોની જ ગાંસડીઓ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અપરાધ કર્યો હોય તો કરાયને ?

દાદાશ્રી : નર્યા અપરાધ જ છે. છે જ અપરાધી. એ ચોથા ગુંઠાણાવાળા ય અપરાધી કહેવાય. નિર્-અપરાધી થયો જ નથી. એક ક્ષણવારેય નિર્અપરાધી થયો નથી. નિર્અપરાધી તો જ્યારે શુદ્ધાત્મા થાય ત્યારે જ થાય. નિર્અપરાધી થયો એટલે અહંકાર ગયો અને મમતા ગઈ, ત્યારથી એ નિર્અપરાધી થયો. પણ તે પાછું આ પાડોશી અપરાધી થયો. તે અહીં બે ભાગ પાડી દેવામાં આવ્યા છે. પ્રકૃતિ ને પુરુષ. તે પુરુષ થયા એટલે પુરુષ થઈને પ્રકૃતિને સૂચના આપો કે, તમે આ અમારા પાડોશી થાઓ. એટલે તમને સલાહ આપીએ કે તમે અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો. એટલે આ બેન એક પણ પ્રતિક્રમણ ચૂકે નહીં. આ ભાઈ પણ એક પણ પ્રતિક્રમણ ચૂકે નહીં.

એટલે આ કુદરતી રીતે જ થઈ જાય. આ જ્ઞાન જ એવું છે ને. અને પછી આજ્ઞા કરેલી હોય. એટલે આજ્ઞા એની મેળે જ કરાવડાવે. એમને કશું કરવાનું ના હોય. અમારી આજ્ઞાથી બધું થાય એવું છે. એટલે આ ફાઈલને, સામાની ય ફાઈલ, એટલે સામો દોષિત દેખાય નહીં. કોઈપણ માણસ અમને દોષિત દેખાતો જ નથી. કોઈ જીવ માત્ર અમને દોષિત દેખાતો નથી. ફૂલ ચઢાવે તે ય દોષિત દેખાતો નથી. આ અક્રમ વિજ્ઞાન તો કો'ક ફેર, દસ લાખ વર્ષે એક જ વખત પ્રગટ થાય છે.

દોષો ધોવાય પશ્ચાતાપથી !

જેને ત્યાં આગ્રહ હોય, એ મોટામાં મોટું 'પોઈઝન'. કોઈ પણ વસ્તુનો આગ્રહ એ મોટામાં મોટું 'પોઈઝન'. અમે નિરાગ્રહી હોઈએ. જે ભાગનું નિરાગ્રહી થવું એટલે કરેક્ટ થયું.

આ જગતમાં કોઈ જીવ માત્રનો દોષ છે જ નહીં. એ જ્ઞાનીની દ્રષ્ટિ. જે દોષિત દેખાય છે, એ આપણો દ્રષ્ટિદોષ હોય છે, આપણા રાગ-દ્વેષ છે.

દોષિત દેખાય છે એ 'ઈગોઇઝમ' છે. રાગ-દ્વેષ છે. અમને કોઈ ધોલ મારે, તે વખતે ય એ નિર્દોષ દેખાય.

પ્રશ્નકર્તા : દોષિત દેખાયા પછી પશ્ચાતાપ તો બહુ ખૂબ થાય છે. ફરી પાછું એવું થઈ જાય છે.

દાદાશ્રી : પશ્ચાતાપ તો જેટલું એની જોડે દોષ થયો છે ને એ ધોવાઈ જવા માંડે છે. જે તમારો દોષ થયો હશે તે ધોવાઈ જશે.

જગતને નિર્દોષ ના દેખાય. જગતને તો કોર્ટ એ નિર્દોષ હોય બાકી દોષિત જ દેખાય, બધા. 'ફાધર' હોય કે 'મધર' હોય, કે ગમે તે હોય.

કોઈ દોષિત દેખાયું નથી ને ?

પ્રશ્નકર્તા : ફન્ડામેન્ટલી (મૂળ સ્વરૂપે) તો નિર્દોષ છે. એવું સમજાય છે પણ કો'ક વખત ફરી પાછા દોષ દેખાવા શરૂ થઈ જાય છે. પણ એ પાછા પ્રતિક્રમણે ય થાય છે એટ એ ટાઈમ (તરત જ).

દાદાશ્રી : એટલે એ ધોવાઈ જાય છે. જે દોષ થયા હશે તે તો ધોવાઈ જાય છે.

દોષ દેખાય છે ને એ ધોવાઈ જાય છે એ જ તમે નિર્દોષ જુઓ છો.

તમારે માટે એ અને અમારે આ હઉ પ્રતિક્રમણ કરવાનાં હોય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ એટલે તો ફરી પાછા એડજસ્ટ થઈ જઈએ છીએને.

દાદાશ્રી : એની મેળે જ થયા કરે. કેટલાક તો સો સો પ્રતિક્રમણ કરે છે, છસ્સો છસ્સો પ્રતિક્રમણ કરે છે. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરે છે.

ભાવ, ક્રિયા ને તેનાં ફળ !

ક્રિયાઓનું ફળ ભવિષ્યમાં નથી, ભાવનું ફળ ભવિષ્યમાં છે. ક્રિયાનું ફળ અહીંનું અહીં મળી જાય છે.

અમારે ય પ્રતિક્રમણ કરવું પડે. પણ બહુ જૂજ. જૂજ આખો દા'ડોય. અમારું દ્રવ્યે ય ચોખ્ખું હોય બધું. એકુંય ક્રિયા એવી ના હોય કે નિંદ્ય હોય. બધી મનોહર હોય.

પ્રશ્નકર્તા : ટીકાપાત્ર ના હોય.

દાદાશ્રી : ટીકાપાત્ર ના હોય ને મનોહર હોય. એ વાણી, વર્તન અને વિનય બધું મનોહર હોય. સામાના મનનું હરણ કરે. અને તો જ આ જગતનો છુટકારો થાય એવો છે. નહીં તો ચોપડાઓ વાંચે કે આ શાસ્ત્રો વાંચે કે બધી ક્રિયાઓ કરે, તો ય એ ક્રિયાઓ સફળ છે. કેટલીક ક્રિયાઓ ફળવાળી છે. ભગવાનનો કાયદો શું છે ? કે જે તેં ક્રિયા કરી એનું ફળ તારે ભોગવવું પડશે. તો તારે એ ભળ ભોગવવા સુધીની ઇચ્છા હોય તો કર અને તેમાંથી પાછાં બીજાં બીજ પડ્યા કરે ને ચાલ્યા જ કરવાનું તોફાન !

અમારાં પ્રતિક્રમણ, દોષ થતાં પૂર્વે !

પ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા, કે અમારાં પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે.

દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ 'શૂટ ઑન સાઈટ' થવાનાં. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરે ય ના પડે કે ક્યાંથી ઊભું થયું. કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું ? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે.

અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું એનું પ્રતિક્રમણ અમારે થઈ ગયું હઉ. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય અને બોલીએ ય ખરાં અને પ્રતિકમણ કરીએ ય ખરાં. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં.

પ્રશ્નકર્તા : દાદા, અમારે ય ઘણી વખત એવું બને છે, કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં ફરક લાગે છે અમને.

દાદાશ્રી : એ અમારો તો ફેર તો કેવો ફેર ?

પ્રશ્નકર્તા : હા, કેવો ફેર એ અમને સમજાવો ને ?!

દાદાશ્રી : ધોળા વાળ ને કાળા વાળ એકદમ સુંવાળા, કેવો ફેર ?!

પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતનાં કરો છો ?

દાદાશ્રી : એની રીત ના જડે બળ્યું ! જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી, એ આવે ત્યાં સુધી એ રીત ખોળવી ય નહીં. આપણે આપણી મેતે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું.

પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે દાદા.

દાદાશ્રી : ના. પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, 'ક્લીઅર' જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય ? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું 'અન ક્લીઅર', બધાં ઢગલે ઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીંને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને દેખાય છે પછી વાંધો શો છે ?

પ્રશ્નકર્તા : ના, આ તો જાણવા પૂછ્યું.

દાદાશ્રી : ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે.

હું કહું છું ને. ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવા હતા.

પ્રશ્નકર્તા : આપની વાત જુદી છે.

દાદાશ્રી : ના. તેનેય અમારે ગમે તેવું જુદું હોય તો પણ અમારે એનાં પ્રતિક્રમણ કરવાં પડે. એક અક્ષરે ય છોડાય નહીં. કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો ? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં !

દાદાશ્રી : જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતું ય હોય એક બાજું, પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું. એમેય જાણતો હોય.

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની પુરુષની વાત થઈ.

દાદાશ્રી : ના, તમારે હઉ એવું રહે ને !

પ્રશ્નકર્તા : એવું થાય છે કે જાગૃતિ હોય, છતાં નિંદા કે પેલું જે કંઈ કરતા હોય, એ બન્ને ભેગું થતું હોય છે. અને તે વખતે એનું પ્રતિક્રમણ થઈ જાય.

અમારી ભૂલો, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ !

અમારી પ્રકૃતિ ભૂલ રહિત હોય. કોઈને ભૂલ જડે નહીં. કારણ કે ભૂલ રહિત હોય. અમને ભૂલ કઈ હોય ? અમારે સ્થૂળ ભૂલ ના હોય. સૂક્ષ્મ ભૂલ ના હોય. તમારી સ્થૂળ ભૂલો ગઈ હોય પણ સૂક્ષ્મ રહે. અને મારે છે તે સ્થૂળને સૂક્ષ્મ બેઉ ના રહે. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જે જગતને કોઈ પણ જીવને નુકસાન ના કરે એવી ભૂલો અમને રહે.

સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કે જીવમાત્રને નુકસાન ના કરે એવી ભૂલો અમારી પાસે હોય.

જ્યાં પોતાના દોષ પોતાને દેખાય ત્યાં ઉપરી નથી. ઉપરી એટલે શું કે ક્યાં સુધી તમારે ફરજિયાત ઉપરી હોય જ, કે જ્યાં સુધી તમે તમારા દોષ જોઈ શકતા નથી, ત્યાં સુધી તમને ઉપરી હોય જ. તમારા દોષ જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. કુદરતનો કાયદો આ. નેચરલ લૉ. (કુદરતનો કાયદો).

મારે જે દોષ થયેલો મને દેખાતો હોયને, એ તો બહાર કહું તો જગત આફરીન થઈ જાય. આને દોષ કહેવાય છે ? મારે કંઈ આવા દોષ નહીં આવવાના, આવા નહીં આવવાના, આ તો કચરો બધો. મારો જે દોષ દેખાય છેને તે જગત આફરીન થઈ જાય, જો સાંભળેને તો ય કહે કે આને દોષ ગણાય કેમ ? એટલે તો એ ભગવાન કેવા ?! કેવું કૈવલ્ય છે, કેટલું ઐશ્વર્ય ધરાવે છે, ફૂલ ઐશ્વર્ય, વર્લ્ડમાં.

તેથી કહીએ છીએને, જોડે બેસી રહેજો, સમજણ ન પડે તો ય !

પ્રશ્નકર્તા : દાદા, એકાદ દાખલો આપોને, એ દોષ તમે કીધાને, જ્યાં એ આશ્ચર્ય પામીએ, એનો એકાદ દાખલો આપોને.

દાદાશ્રી : એ તો ખરો વખત આવે ત્યારે સામો દાખલો આપીશ ત્યારે મજા આવે.

પ્રશ્નકર્તા : પણ યાદ રાખજો હં.

દાદાશ્રી : ના ભૂલાય.

અમને એ દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાવ તો કહે શું કે શી રીતે આ દોષ હોય. આને દોષ ગણાય કેમ કરીને ! જમતી વખતે દોષ દેખાયને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો ! દોષ એટલે પુદ્ગલના પણ મૂળ માલિક તો આપણે. જવાબદાર તો આપણે જ ને ! ટાઈટલ તો આપણું જ હતું ને પહેલાં અત્યારે ટાઈટલ આપી દીધું. પણ એ કંી વકીલો છોડે કે ? કાયદા ખોળી કાઢેને ?

પ્રશ્નકર્તા : માલિકીપણું છૂટી ગયું છે કહો છો પછી દોષ આપણા કહેવાય કેમ ? પુદ્ગલના દોષને આપણે લેવા-દેવા શું ?

દાદાશ્રી : આપણા કહેવાય નહીં. પણ જવાબદાર તો છો જ.

પ્રશ્નકર્તા : એ તો આપને માટે વાત છે.

દાદાશ્રી : એ તો દોષ અમને દેખાય છે, તે અમને સમજાય છે ને, ઓ હો હો, ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે, કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે. એ અમારે સાચા લાગે છે પાછા. તે 'અમે' ક્યાં છીએ. 'એ' ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો. આવા કંઈ સંસારી દોષ થયા, એવા નથી.

પ્રશ્નકર્તા : બહુ સૂક્ષ્મ હોય એ દોષો ?

દાદાશ્રી : સૂક્ષ્માતીસૂક્ષ્મ. સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. એટલે મને એમ સમજાય છે ને કે ઓહોહો, આ જ્ઞાની ક્યા છે. અને આ ભગવાન ક્યાં છે !! ના સમજાય ?

પ્રશ્નકર્તા : સમજાય.

દાદાશ્રી : તેથી હું કહી દઉં છું ને, તે આમ કરીને 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો !'

સાચા ભગવાન પકડ્યા. મેં તમને દેખાડ્યા. હજુ આખા વર્લ્ડને દેખાડીશ. સાચા ભગવાન દુનિયામાં છે કે નહીં તે. લોકોને તો વિશ્વાસ જ નહીં કે ભગવાન છે કે નહીં તે, આત્મા છે કે નહીં તે. પણ વિશ્વાસ નથી તેમને દેખાયા ! આત્મા છે એવું તો વિશ્વાસ બેસી ગયો લોકોને.

આ તમને દોષ દેખાડીએ, એ તમને તમારા દોષ નથી દેખાતા એ તેથી તમારા ઉપરી ભવિષ્યમાં પણ રહેશે, દેખાડનારા જોઈએ ને ? મારે તેથી ઉપરીપણું થવું પડ્યું છે ને, નહીં તો તમારા ઉપરી મારે થવાનું હોય નહીં. હું તો જ્ઞાન આપીને છૂટો થઈ ગયો. કાયમ ઉપરીપણું તેથી રહેવું પડે છે, દેખાડનાર જોઈએ. તમને દેખાતા નથી માટે. આ થોડા ઘણા દેખાય છે ને, તે મેં દ્રષ્ટિ આપી છે તેથી દેખાયા. હવે વધારે ને વધારે દેખાય છે કે નથી દેખાતા ?

પ્રશ્નકર્તા : દેખાય છે ને !

દાદાશ્રી : હજુ સૂક્ષ્મમાં તો પહોંચ્યા જ નથી આતો. હજુ બધું તો સ્થૂળમાં છે !!!

જ્ઞાનીની દ્રષ્ટિ અનુયાયીઓ તરફ !

સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્રષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે દોષો સ્થૂળ નથી.

પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ?

દાદાશ્રી : દેખાય બધાં દોષો. પણ અમારી દોષ ભણી દ્રષ્ટિ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય. પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્રષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્રષ્ટિ ના હોય. અમને ખબર પડી જ જાય, બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં. તેથી જ કવિએ કહ્યું છે ને,

''મા કદી ખોડ કાઢે નહીં. દાદાને ય દોષ કોઈના દેખાય નહીં !''

અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ. એટલે અમારે સહજ ક્ષમા હોય એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ. અહીંથી લપસી પડે એવું લાગે, એ 'સ્લીપ' થાય એવું હોય તો જ કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે કારણ કે જાગૃતિનો માર્ગ છે આ. નિરંતર 'એલર્ટનેસનો' (જાગૃતિનો) માર્ગ છે આ !

અક્રમમાં નહીં પ્રમાદ રે....

પ્રશ્નકર્તા : સત્ય-પ્રમાદને આધાર કોણ આપે છે ?

દાદાશ્રી : એ તો ક્રમિક માર્ગની વાત છે. ્ક્રમમાં પ્રમાદ હોતો જ નથી. આ માર્ગમાં પ્રમાદ જ નથી હોતો. પ્રમાદ એટલે અહંકાર હોય તો મદ હોય અને મદ હોય એટલે પ્રમાદ હોય, પ્રમત્ત હોય, અક્રમમાં એ હોય નહીં. આ માર્ગ તદ્દન જુદો છે. એક દહાડો ય ચોપડો ચોખ્ખો થયા વગર રહે નહીં એવો માર્ગ છે. સાંજે ચોપડા ચોખ્ખા થાય, પ્રતિક્રમણ કરીને બધાં ચોપડા ચોખ્ખા જ કરી નાખે. અને કોઈ દોષિત દેખાય નહીં આ દુનિયામાં - બધાં નિર્દોષ દેખાય.

બધો પોતાનો જ દોષ છે. પારકો દોષ જ નથી. જગતમાં કોઈનો દોષ નથી. બધો દોષ પોતાનો છે. એટલે જગત નિર્દોષ છે આખું. પોતાના દોષથી આ બધું ઊભું થયું છે. માટે એ દોષોને ધૂઓ. આપણે શું કહીએ છીએ ? પ્રતિક્રમણ કરો. કો'કનો દોષ જોઈને તો આ સંસાર ઊભો થયો છે. ને પોતાના દોષ જુએ એટલે મોક્ષે જાય પછી. અને પોતાા દોષ વર્લ્ડમાં કોઈ જોઈ શકે નહીં. સાધુ આચાર્યો ય ન જોઈ શકે. એ તો જ્ઞાનના પ્રતાપે, અક્રમ વિજ્ઞાનના પ્રતાપે પોતાના દોષો દેખાય. નહીં તો એક દોષ ના દેખાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણે ય ના થઈ શકે. કેવું સુંદર વિજ્ઞાન ! નિરંતર સમાધિ આપનારું લઢતાં ય સમાધિ ! વઢંવઢા થાય, એ પૂર્વભવનું કારણ છે. હા, એ પહેલાંના ભરેલા માલનું કારણ છે. પણ તે આ વિજ્ઞાન સમાધિ આપે નિરંતર !

જ્ઞાનીની વર્તે સહજ ક્ષમા સદા...

સામો આડું કરે છે કે સવળું કરે છે એ વ્યવસ્થિતને આધીન કરે છે.

પ્રશ્નકર્તા : પણ અનાદિકાળથી આડું જોવાની ટેવ પડી છે તેનું શું ?

દાદાશ્રી : હા, પણ આપણે ઉપયોગ રાખવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું.

પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે, કઈ રીતે પ્રતિક્રમણ કરે ?

દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ? આપણને આઘાત લાગે તો ?

પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય. એણે કરવાનું હોય.

પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ?

દાદાશ્રી : એ સુધારે. આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની.

પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને.

દાદાશ્રી : જે થઈ ગયેલું હતું તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ.

પ્રશ્નકર્તા : ફરજિયાત છે.

દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું તે ? એમાં નવું શું કર્યું તે ? સહજ ક્ષમા અમારી હોય, સામાની ભૂલ થાય, તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, 'પસ્તાશો નહીં જરાય. બરાબર છે.' એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ.

ક્ષમા સહજ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા પાસે ભૂલ થઈ અને બીજી સેકન્ડે આપણને એવો અનુભવ થાય કે દાદાની બહુ જ કરુણા વરસી ગઈ આપણા ઉપર.

દાદાશ્રી : હા, એટલે સહજ ક્ષમા !

પેલી ક્ષમા એ છે ને નથી આત્માનો ગુણ કે નથી અનાત્માનો ગુણ. એવી વસ્તુ છે ક્ષમા. તેને આ લોકો સંસારમાં લઈ જાય છે, એ ક્ષમા આપે છે, છતાં સારું છે. ભાષા તરીકે રાખવું સારું છે. ભાષા તરીકે 'ઓર્નામેન્ટલ' (શૃંગારિક) શબ્દ છે. મોટા માણસ નાના માણસને ક્ષમા આપે. લોકો કહેશે, 'સાહેબ, મને ક્ષમા આપો.' ત્યારે એ કહે, 'હા, ક્ષમા આપું છું', એ 'ઓર્નામેન્ટલી' સારું કહેવાય. બાકી ક્ષમા તો સહજ છે. ગુણ છે !

અમારે આવા બહુ મળેલા. છતાં અમે વીતરાગ રહીએ. એ વાંકો થાય પણ અમે વીતરાગ રહીએ. એને દંડ આપવામાં અમારો હાથ જાય તો, એ તો દંડાય પણ અમને ડાઘ લાગેને ? અમારી પાસે જેટલાં દંડને યોગ્ય છે તેમને પણ માફી હોયને, માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે 'સાહેબ માફ કરજો' ત્યાં જ મેલાં થાય છે. સહજ માફ થાય ત્યાં તો ચોખ્ખું બહુ થઈ જાય.

પ્રશ્નકર્તા : જો અમારી પાસે સહજ માફી મળી જાય, ઓટોમેટિક તો પછી પ્રતિક્રમણ ન કરવાં પડે.

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાં જ પડે. પ્રતિક્રમણ ના કરે તો એને નુકસાન થાય. પણ માફી અમે અપાવીએને, તે સહજ માફી અમારે એકલાને જ હોય, બીજા કોઈ આપે નહીંને ? અમારાં પ્રતિક્રમણ કરો તો તમારું કલ્યાણ જ થઈ જાયને ? અમારા પ્રત્યે કોઈને પ્રતિક્રમણ હોય જ નહીં. અમારો એક પણ ગુનો એવો ના હોય કે સામાને પ્રતિક્રમણ કરવું પડે. તમારો ગુનો હોય તે તો તમે પ્રતિક્રમણ કરોને તો એટલો જ ફાયદો રહે. બાકી સહજ માફ તો અમારે હોય જ. પણ ફાયદો તમારે એટલો જ રહે.

પ્રશ્નકર્તા : તમે સહજ માફ કરો છો પછી પ્રતિક્રમણની મહેનત અમે શું કામ કરીએ ?

દાદાશ્રી : હા, પણ તમારું બગડેલું રહ્યુંને ? અમે માફી આપીએ પણ તમારું બગડેલું હોય તેનું શું થાય ? માફી એટલે અહીંથી તમને હવે દંડ નહીં મળે.

સાહજિકતા તૂટ્યાનાં પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : અમારી એવી જાગૃતિ હોવી જોઈએ કે દાદાને બહુ પ્રતિક્રમણ નહીં કરાવવાં.

દાદાશ્રી : એવું જો સમજદાર હોય તો બહુ સારી વાત કહેવાય. વગર કામનું મને એક જાતનું, પોતે સાંભળીને આવ્યા હોય તે અહીં કહે, તે અમને મનમાં ગમે નહીં. હવે એમને પોતાને એવો ઈરાદો ના હોય, પણ હવે એની પ્રકૃતિનું એ બધું લઈને આવેલા એટલે હવે એમાં એમનો દોષ નહીં. દોષ અમારો કે અમારે પ્રતિક્રમણ કરવાં પડે છે. જેનો ટાઈમ બગડે એનો દોષ ! એ તો બેન્ડ વાગ્યું. બેન્ડનો સ્વભાવ વાગવાનો !

જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે ય કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે.

આજ્ઞાપૂર્વકનાં પ્રતિક્રમણ !

આ પ્રતિક્રમણ કરવાથી બહુ શક્તિઓ ખીલે. પણ અમારી આજ્ઞાથી કરે તો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ને ક્યારે ?

દાદાશ્રી : અમારી આજ્ઞા લઈને કરી આવે તો કામ કાઢી લે. આ જાત્રામાં ખાસ. આજ્ઞાથી કરવું. કોઈ એવા સંજોગોમાં ય આજ્ઞાથી કરવું.

'૭૩માં અમે બધાં ૩૮ દિવસની જાત્રાએ ગયેલાં, ત્યાં ય અમારે તો નો લોઝ. તે પછી એવું નહીં કે કોઈની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવું ય નહીં ને, ના આપવી એવું નહીં. તે જો લઢે તો 'અમે' જોઈએ. પણ રાત્રે પાછા બધાં 'અમારી' સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા ધોઈ નાખે ! આ પ્યૉર 'વીતરાગ માર્ગ' છે, એટલે અહીં કેશ-રોકડાં પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક, માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ.

પ્રશ્નકર્તા : આમ જાગૃતિ છે કે 'શુદ્ધાત્મા' છું, પણ છતાંય પેલું અગાઉનું.

દાદાશ્રી : જે કચરો હોયને, તે મહીંથી ના નીકળે તો મહીં રહી જશે, એના કરતાં નીકળે તો સારું. એટલે અમે જાત્રાએ જતા'તાને, તે અમારા થોડાક પટેલો ને મહીં બીજા તમારા જેવા વણિકો હોય, તે અંદર અંદર એવા બાઝે, એવા બાઝે તો આ બધા મને શું કહે, કે દાદાજી આને છોડાવોને, આ લોકો આટલા અવળા શબ્દો બોલે છેને, બધું લડી પડ્યા છેને, મેં કહ્યું, મારી રૂબરૂમાં લઢે તો ઊકેલ આવી જાયને. જલદી પાર આવી જાય અને કશું બંધાય નહીં બિચારાને. એટલે તો મારંમાર કરતા હોય તો છોને મારવા દો કે 'મારો બરોબર.' એવું કહું, 'મારજો બરોબર.' એ તો મહીં છે તો મારશો. મહીં છે જ નહીં, તો શી રીતે મારવાના ?

એટલે આ બસમાં આવું આખો દહાડો તોફાન ચાલ્યા કરે એટલે ડ્રાઈવર મને એમ કહે કે, 'સાહેબ, તમે તો ભગવાન જેવા છો, આવા માણસ જોડે તમારે ક્યાંથી પ્રેમ પડ્યો ?' મેં કહ્યું, 'આ માણસો જ ઉત્તમ છે બધા.' એક દહાડો સુધરશે !

પછી સાંજ થાયને એટલે બધા આરતી કરે પાછા, ભેગા થઈને 'દાદા ભગવાન'ની ! બસમાં ને બસમાં. એ મારે કરે પણ પાછા બધા ભેગા થઈને આખી આરતી બોલે. અને પછી પ્રતિક્રમણ કરવાનાં. ને બધા વઢંવઢા કરતા હતા, મારંમાર, તે સામા આવીને પગે અડીને પાછા નમસ્કાર કરી આવે.

એટલે પેલો ડ્રાઈવર કરે છે કે 'આવું તો દુનિયામાં કોઈ જોયું નથી મેં.' તરત જ પાછું પ્રતિક્રમણ કરવાનાં. રોજ પ્રતિક્રમણ કરવાનાં. રોજ એક વખત પ્રતિક્રમણ કરવાનાં. લઢો એટલું જ પ્રતિક્રમણ કરવાનું. અને તે પગે અડીને. જો હવે છે કશી ભાંજગડ !!

પ્રતિક્રમણરૂપી વિચાર આપીએ છીએ. અમારી આજ્ઞાથી પ્રતિક્રમણ કરસો તો સપાટાબંધ કલ્યાણ થઈ જશે. પાપ ભોગવવાં પડશે પણ આટલાં બધાં નહીં.

આજ્ઞા ચૂક્યાનાં પ્રતિક્રમણ !

અમે તમને પાંચ આજ્ઞા આપીએ છીએ, કે જ્ઞાન તો આપ્યું, પણ તે તમે ખ

અમે તમને પાંચ આજ્ઞા આપીએ છીએ, કે જ્ઞાન તો આપ્યું, પણ તે તમે ખોઈ બેસશો. એટલે આ પાંચ આજ્ઞામાં રહો તો મોક્ષે જશો. અને છઠ્ઠું શું કહ્યું ? કે જ્યાં અતિક્રમણ થાય ત્યાં પ્રતિક્રમણ કરો. આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે 'હે દાદા, આ બે કલાક ભૂલી ગયો, આપની આજ્ઞા ભૂલી ગયો. પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.' તો પાછલું બધું ય પાસ. સોએ સો માર્ક પૂરા. એટલે જોખમદારી ના રહી. જેને ભૂલ ફરી કરવાની ઇચ્છા નથી તેને અમે માફ કરી દઈએ છીએ. માફ કરવાનું અમારી પાસે લાયસન્સ છે.

અમારી આજ્ઞામાં રહેશો તો કામ નીકળી જશેને. એને ચોળી ચોળીને બહુ ચીકણું કરેને તે શું થાય ?

આજ્ઞામાં રહેવાતું ના હોય તો પ્રતિક્રમણ કરવું પડે. ઘેરથી નક્કી કરીને નીકળવું કે આજ્ઞામાં જ રહેવું છે. પછી ના રહેવાય તો તરત પ્રતિક્રમણ કરે. એમ કરતાં કરતાં છ મહિને, બાર મહિને પણ રાગે પડી જાય, પછી કાયમને માટે રાગે પડી જાય.

'તમારે' કશું કરવાનું નહીં, તમારે તો નક્કી કરવાનું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને ના પળાય તો ય તેની ચિંતા નહીં કરવાની. તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે તો તેમની જોડે, સાસુ દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે 'સમભાવે નિકાલ' કરવો જ છે. પછી સમભાવે નિકાલ ના થાય, તો તમે જોખમદાર નથી. આજ્ઞા પાળવાના આધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી ! તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે. પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ સીધો ને સુગમ માર્ગ છે તેને સમજી લેવાનો છે !

પંપ પ્રતિક્રમણનો !

પાંચ આજ્ઞામાં વધારે રહેવું. બીજું કશું કરવા જેવું છે નહીં. સવારથી નક્કી કરવું કે પાંચ આજ્ઞામાં જ રહેવું છે ને ના રહેવાય તો રાત્રે પ્રતિક્રમણ કરી લેવું. એટલે બીજે દહાડે રહેવાય. પછી આગળ કોર્સ વધતો જશે. એને કંઈ બીજા પંપો નથી હોતા. આ જ પંપ.

પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણનો પંપ.

દાદાશ્રી : પ્રતિક્રમણનો પંપ. એટલે મેં શું કાયદો કરેલો કે ભઈ, જેટલી આજ્ઞાઓ તમારાથી પળાય એટલી પાળો. તમારાથી ન પાળી શકાય તો દાદાની પાસે ક્ષમા માગો કે દાદાજી જેટલી પળાય એટલી પાળું છું, ને ન પળાય એનું હું શું કરવાનો હતો, એટલે માટે તમારી ક્ષમા માગું છું. એટલે તમારી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ. પણ આ ઈરાદાપૂર્વક આવું ધકેલવા માટે આવું ના કરતા.

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : હાર્ટીલી રીતે તમારાથી ન થાય તે તમે આવી રીતે કરો, તો તમારી બધી આજ્ઞા પાળો છો એવું હું સ્વીકારી લઈશ.

કારણ કે માણસ કેટલું કરી શકે ? જેટલું થાય એટલું કરે. અને બાકીનું માફી માગીએ, પછી એનું તો હું બધું ભગવાનને કહી દઉંને કે શું વાંધો છે આનો, તમારી આજ્ઞામાં જ છે. ના પળાય તો એ શું કરે.

એટલે આપણે તો બધા કાયદા બહુ સુંદર. પ્રતિક્રમણ કરી લેવું પડે. અને એ પ્રતિક્રમણ તમને ઉપર લઈ જશે, ટોપ ઉપર ! ઉપર જઈ શકાય !

આપણે રસ્તા છે એટલે એમાં રહેવાની જરૂર છે. ટેન્શન (ચિંતા) રાખવાની કંઈ જરૂર નથી. આ આમાં કંઈ ખોટ જતી નથી. રસ્તા પકડવાની જરૂર છે. જ્ઞાન જ પકડવાની જરૂર છે.

આજ્ઞામાં રહ્યો ત્યાં સુધી પરમાત્મા !

જ્યાં સુધી આજ્ઞામાં રહે ત્યાં સુધી પરમાત્મામાં, આજ્ઞાની બહાર ગયો કે ખલાસ. ઓછી આજ્ઞા પળાય એનો વાંધો નહીં. વધુ આજ્ઞા પાળવાની ઇચ્છા તો રાખવી જોઈએ. આજ્ઞા પાળવાનો ભાવ કરવો છતાં ઓછી પળાય તો પ્રતિક્રમણ રોજ કરવું જોઈએ, કે પળાતી નથી, માટે પ્રતિક્રમણ, પછી જ્ઞાનીની આજ્ઞામાં સ્વચ્છંદ કરે, એ નર્કના અધિકારી. જ્યાં નહીં કરવાનું ત્યાં સ્વચ્છંદ કર્યો ? ત્યાં દગો - ફટકો ?! ત્યાં કાલાબજાર કિયા ?

ન આવે વિઘ્ન પ્રતિક્રમણમાં !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવામાં વિઘ્નો આવે, પ્રમાદ આવે, તેનું શું કારણ ?

દાદાશ્રી : પ્રતિક્રમણમાં કોઈ વિઘ્ન જ ના આવે.

પ્રશ્નકર્તા : દાદા, પ્રતિક્રમણ બરાબર થતું નથી.

દાદાશ્રી : પ્રતિક્રમણ નથી થતું તેનું ય પ્રતિક્રમણ કરવું પડે. આજ્ઞામાં ના રહ્યા તેનું ય પ્રતિક્રમણ કરવું પડે. એટલે જોખમદારી ના રહી.

આપણે ત્યાં શુદ્ધવ્યવહાર એટલે શું ? પાંચ આજ્ઞામાં જ રહેવાનું તે. જેટલી પળાય તેટલી પાળવાની. બાકીનાનું પ્રતિક્રમણ કરી લેવું.

શુદ્ધ ઉપયોગ ગોઠવો !

આ આત્માને ઉપયોગમાં રાખવો એટલે આત્મા કોઈ બીજી વસ્તુ નથી, જ્ઞાનદર્શન છે. તે જ્ઞાનદર્શનને ઉપયોગમાં રાખવાનું. શુદ્ધ જ્ઞાનદર્શન કોને કહેવાય ? તો કહે કે રાગ-દ્વેષ વગરનું જ્ઞાનદર્શન એ શુદ્ધ જ્ઞાનદર્શન અને આ જગતની પાસે જે જ્ઞાનદર્શન છે એ રાગદ્વેષવાળું છે. તે અશુદ્ધ છે. કેવું છે ?

પ્રશ્નકર્તા : અશુદ્ધ છે.

દાદાશ્રી : રાગ-દ્વેષ સહિત છે અને રાગ-દ્વેષ રહિત છે તે શુદ્ધ જ્ઞાન કહેવાય. એ શુદ્ધ જ્ઞાનથી કોઈ પણ જાતનો શુદ્ધ ઉપયોગ થાય. ના હોય તો બેઠાં બેઠાં આમ શુદ્ધ ઉપયોગમાં જોયા કરીએ તો ય ચાલે. આમ રસ્તામાં ય છે તો ચાલે. અને કશું ય ના હોય તો ઘરમાં બેઠાં બેઠાં એનાં પ્રતિક્રમણો કર્યા કરીએ. આ ગયા અવતારથી કેટલાય અવતારનું બધું આ જોઈન્ટ થયેલું છે ને ? તે પ્રતિક્રમણનો અડધો કલાક કાઢીએ તો ય બધું નીકળી જાય. ઘરમાં દરેકે દરેક માણસનું નામ લઈ અને પ્રતિક્રમણ કર્યા કરીએ. આ ભવમાં થયેલાં, ને પહેલાં અનંત ગયા ભવના જે જે દોષ થયા હોય, એ એ ઉપયોગમાં રહે અને પેલું ચોખ્ખું થતું જાય. એવાં ઘણાં કામ હોય છે આપણે, એને શુદ્ધ ઉપયોગ રહ્યો કહેવાય. આ સગાંવહાલાં શેનાં થઈ પડ્યાં છે ? પાછલાં બધાં લટિયાં ગૂંથાયેલાં એટલે. આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે છૂટી ગયા. એને છૂટવું કે ના છૂટવું એ એની મરજીની વાત છે. આપણે છૂટી ગયા ! છૂટનારને કોઈ બાંધનાર નથી. મહાવીર ઉપરે ય લોકો પ્રેમ વરસાવે છે તેથી કંઈ મહાવીર બંધાય નહીં. મહાવીર જો જાતે પ્રેમ વેરે તો બંધાય. એટલે લોક મને શું કહે છે કે, 'સામો કશું કરશે તો મારું શું થશે ?' અલ્યા, સામાને જે કરવું હોય તે કરે. આપણે શું ? પુરુષ છે તેન

ે સ્ત્રી માને

તેને કંઈ આપણે ના કહેવાય ? ત્યારે એ કોર્ટમાં ફરિયાદ લઈને જાય તો તેને લો તમે ? એને ફાવે એવું કરે. એ સ્વતંત્ર છે. ના કરે ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : એનો કકળાટ આપણે ક્યાં કરવા જઈએ ? આપણે આપણું સંભાળી લેવું. એટલે ઘણાં કામ આપણે આ બધા ઉપયોગમાં મૂકવાં. અમથા જોયા કરીએ તો ય ઉપયોગ હોય છે. શુદ્ધાત્મા થઈ ગયા એટલે કંઈ પૂરું કામ થતું નથી. શુદ્ધાત્મા કોનું નામ કહેવાય કે સામો ગાળો દે અને આપણને જો અશદ્ધિ થાય તો તે શુદ્ધાત્મા ના કહેવાય. એનો શુદ્ધાત્મા દેખાવો જોઈએ તે ઘડીએ. ગાળો જે દે છે એ, આપણું ઉદયકર્મ દે છે. એ વાજિંત્ર વાગી રહ્યું છે, ટેપરેકર્ડ વાગી રહી છે, પણ ઉદયકર્મ તો આપણું જ ને ? અને સામો શુદ્ધ જ છે એટલે પોતે સામાને શુદ્ધ જુએ. પોતાને શુદ્ધ જુએ એનું નામ શુદ્ધ ઉપયોગ ! જીવ માત્રને શુદ્ધ રીતે જુઓ એ શુદ્ધ ઉપયોગ કહેવાય.

ભેદજ્ઞાન અક્રમ થકી !

પ્રશ્નકર્તા : આ અક્રમની વિશેષતા એ છે કે, આત્મા અને અનાત્મા એ બન્ને ભેદ વિજ્ઞાની પાસેથી જે છૂટું પડી ગયેલું છે, એ જ અક્રમની ઐશ્વર્યતા છે. જ્યારે ક્રમિકની અંદર તો ઠેઠ સુધી પેલાનું સાતત્ય હોય જ છે.

દાદાશ્રી : ઠેઠ સુધી અહંકારેય ખરો. ઓછો થતો જાય.

પ્રશ્નકર્તા : પેલામાં ઓછો થતો જાય અને અહીં તો આ જે છૂટું પડી ગયું છે, એને લીધે જે દશા વર્તે છે, એ અક્રમની વિશેષતા છે.

દાદાશ્રી : એટલે જ અહીં પ્રતિક્રમણ કરવું પડે છે. અકાળ દશાએ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

મોક્ષ માટે મોટામાં મોટું સાધન !

પ્રશ્નકર્તા : મેડે જવું હોય તો દાદરો એક જ સાધન છે. તેમ મોક્ષે જવું હોય તો, જ્ઞાન મળ્યા પછી, પ્રતિક્રમણ એક જ સાધન છે. એવું હું માનું છું.

દાદાશ્રી : નહીં, એવું નહીં. પ્રતિક્રમણ તો આ બધાં સાધનોમાંનું એક સાધન છે. મોક્ષે જવું તે પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલું જ સાધન છે, બીજું સાધન નથી.

પ્રશ્નકર્તા : હા, એ તો જ્ઞાન તો તમે આપ્યું, પણ પછી મુખ્ય વસ્તુ તો પ્રતિક્રમણ જ છે ને ?

દાદાશ્રી : કેટલાંકને પ્રતિક્રમણ ના કરવાં પડે.

પ્રશ્નકર્તા : ભૂલ ના થાય તો પ્રતિક્રમણ ના કરવાં પડે.

દાદાશ્રી : એવું કેટલાય માણસોને પ્રતિક્રમણ ના કરવાં પડે એટલે એ સાધન તો કો'કને જરૂર હોય, તો એ વાપરે. મુખ્યતાએ જ્ઞાન છે. જ્ઞાન હોય તો મોક્ષે જવાનું બને. બાકી જ્ઞાન ના હોય તો ગમે એ પ્રતિક્રમણ કરે તો ય બધાં સંસારમાં હોય.

પ્રશ્નકર્તા : પણ જ્ઞાન મળ્યા વગર પ્રતિક્રમણ કેમનું કરે ?

દાદાશ્રી : કરે છે ને લોકો ! એ અહંકારથી પ્રતિક્રમણ કરે કે ફરી એવું નહીં કરું, એવું ! કરે જ છે ને ! ને તે પેલાનું ગાડું ચાલે છે ય ખરું ને ! જેમ અતિક્રમણ અહંકારથી કરે છે, એવું પ્રતિક્રમણ અહંકારથી કરે છે. એ બધી પૌદ્ગલિક રચના છે. પુદ્ગલની રચના છે, એમાં કંઈ આત્મા નથી.

અક્રમનાં જ પ્રતિક્રમણોથી જ મોક્ષ !

પ્રશ્નકર્તા : પણ દાદાજી એવું છે કે આ જ એક શસ્ત્ર છે જેનાથી મોક્ષ થવાનો છે.

દાદાશ્રી : આ એક રસ્તો છે. અને આ અક્રમ છે, એટલે મોક્ષ સ્વભાવ જ છે.

પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, પણ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરતાં રહેવું પડશેને ?

દાદાશ્રી : પડશે. તે પણ થાય તે કરે. ના થાય તે શું કરે ? એ તો ના ચાલતા હોય ત્યારે ખભે બેસાડવા પડે મારે. એ તો એની મેળે કરે પછી એનામાં શક્તિ આવે તો તો કરે પાછા. ના જ કરે એવા નફ્ફટ નથી આ. દાદાને મળેલાં બધાં ફટ છે.

પ્રશ્નકર્તા : દાદા, અમને એ વિસ્તારથી સમજાવો.

દાદાશ્રી : એ તો તમારે માટે સમજાવવાનું હોય તો હું કહી દઉં કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ત્રણેય કરજો. તમને બધાને કળ વળેલી છે. આમને કળ વળે નહીં. કળિયુગમાં શી રીતે માણસને કળ વળે !

આ છે સાયન્ટિફિક શોધખોળ !

પ્રશ્નકર્તા : આપણે કંઈ ભૂલ કરી હોય અને પછી આપણને ખબર પડે, એટલે આપણે એનું પ્રતિક્રમણ કરીએ. તો આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપણે દોષમુક્ત થઈ જઈએ છીએ ?

પ્રશ્નકર્તા : આપણે કંઈ ભૂલ કરી હોય અને પછી આપણને ખબર પડે, એટલે આપણે એનું પ્રતિક્રમણ કરીએ. તો આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપણે દોષમુક્ત થઈ જઈએ છીએ ?

દાદાશ્રી : આ ભૂલ થાય છે તે તો પરિણામ છે, ‘રિઝલ્ટ’ છે. અને દોષના કારણ ક્યા હતા ? એ કારણો ખરાબ હતા, એટલે અમેય પ્રતિક્રમણ કરીએ છીએ. એ પરિણામ માટે નહીં, પરિણામ તો એનું ગમે તે આવે. એટલે આપણે બધા દોષોના કૉઝને ખલાસ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : એટલે આ કૉઝિઝનું પ્રતિક્રમણ છે ?

દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ કૉઝિઝને મારે છે, રિઝલ્ટને નથી મારતું. આ સમજમાં આવી ગયું ને ?

કો’કને આપણે નુકસાન કર્યું, પછી આપણે પ્રતિક્રમણ કરીએ, હવે નુકસાન થયું એ તો જાણે કે ‘ઇફેક્ટ’ છે, ‘રિઝલ્ટ’ છે. નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપણો, તે ‘કૉઝ’ છે. તે પ્રતિક્રમણ કરવાથી એ ઈરાદો તૂટી ગયો. એથી પ્રતિક્રમણ એ કૉઝિઝ તોડે છે. બાકી આ બન્યું એ તો રિઝલ્ટ છે. એટલે પ્રતિક્રમણથી આ સાફ થઈ જાય છે. આ તો ‘સાયન્ટિફિક ઇન્વેન્શન’ (વૈજ્ઞાનિક શોધખોળ) છે !

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જે કરીએ છીએ, તો એ પ્રતિક્રમણ કઈ રીતે તે કાર્ય કરે છે. જેનાથી આપણા ધોષો ધોવાઈ જાય છે. અને આપણને પ્યૉર ફોર્મમાં લઈ આવે છે. એ પ્રતિક્રમણ પેલાના શુદ્ધાત્મા પાસે જાય છે ને બધું 'વાઈપ' કરી આવે છે કે શું હોય છે એ ?

દાદાશ્રી : એવું છેને, બટન દબાવ્યું એટલે લાઈટ થઈ અને ફરી પાછું બટન દબાવીએ એટલે લાઈટ બંધ થઈ જાય. એવી રીતે પેલું કંઈક દોષ કર્યો હોય અને પ્રતિક્રમણ કરીએ એટલે દોષ બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું ?

દાદાશ્રી : હા. અમે કહીએ કે અલ્યા, તમારામાં અક્કલ નથી, તો ય એ હસે.

પ્રશ્નકર્તા : અમને આનંદ થઈ જાય છે.

દાદાશ્રી : એવું કોઈ કોઈ માણસનું અતિક્રમણ હોય જે બીજાને આનંદ કરાવે !

જાય ચારિત્રમોહ માત્ર જોવાથી !

પ્રશ્નકર્તા : ઘણી ફેર મનમાં ભાંજગડ થયા કરે છે.

દાદાશ્રી : તેને જોયા કરો.

પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરીએ ને પાછી ભાંજગડ થયા કરે.

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તેને ય જોયા કરો. જેટલું અખંડ જ્ઞાન દર્શન ભેગું થાય કે ચારિત્ર એટલું ઊભું થઈ જાય. હવે એ એને અનુભવ શેમાંથી થાય ? ચારિત્રમોહને જોવાથી અનુભવ થાય. એટલે ચંદુભાઈ શું કરી રહ્યા છે, એને બધું જુએ.

પ્રશ્નકર્તા : 'ચંદુભાઈ' શું કરી રહ્યા છે, એ ચારિત્રમોહ જે જોયા કરીએ, તે વખતે કોઈ ખરાબ વિચાર આવે તો ?

દાદાશ્રી : ખરાબ વિચાર આવે તે ય ચારિત્ર મોહ.

પ્રશ્નકર્તા : માત્ર એને જોયા જ કરવાથી એ જતું રહે ? કે એનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ-બ્રતિક્રમણ કરવાનું નહીં. પ્રતિક્રમણ તો બધું પૂરું થયા પછી, આપણને ઠીક લાગે કે આ અતિક્રમણ કર્યું તો આપણે ચંદુભાઈને કહેવું કે, 'પ્રતિક્રમણ કરો.' 'આપણે' નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું હોય તે પ્રતિક્રમણ કરે.

પ્રશ્નકર્તા : એટલે જોવા માત્રથી જ આખો ચારિત્રમોહ ઊડી જાય.

દાદાશ્રી : જોયા એટલે શુદ્ધ થયા. તમારી જે આત્મદ્રષ્ટિ છે એ પડી એના પર, જોયા તેની સાથે શુદ્ધ થયા.

પ્રશ્નકર્તા : ચંદુભાઈ તો નિરંતર અતિક્રમણ કરતાં જ હોય ને ?

દાદાશ્રી : અતિક્રમણ કરેલાં હોય એને પ્રતિક્રમણ કરવાનાં.

પ્રશ્નકર્તા : આમાં શક્તિ તો સામાના શુદ્ધાત્મા પાસે જ માંગીએ છીએ ને ?

દાદાશ્રી : એ વ્યવહાર છે ખાલી. એમાં વ્યવહાર નિશ્ચય ના હોય. એ વિવેકની ખાતર, વિનયની ખાતર છે. શક્તિઓ માંગવાની છે.

પ્રશ્નકર્તા : ઇચ્છાઓ બધું થઈ રહ્યું છે, એ બધું ચારિત્ર મોહ જ છે ને ? પણ બાકી રહી જાય તે અને જેનું પ્રતિક્રમણ બરોબર ના થયું હોય, તો પછી કેમ ?

દાદાશ્રી : હું તો કહું છું, કે જોયા જ કરતો હોય તેને પ્રતિક્રમણે ય કરવાની જરૂર નથી. કશું ય કરવાની જરૂર નથી.

પરમાણુઓની શુદ્ધિ જ્ઞાતા-દ્રષ્ટાપદથી !

પ્રશ્નકર્તા : દાદા, આપણે આ શરીરના એક એક પરમાણુ શુદ્ધ કરવા માટે, એને જે થાય તેને જોયા રાખીએ, જ્ઞાતા-દ્રષ્ટા તરીકે તો શુદ્ધ થાય કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાથી શુદ્ધ થાય.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણથી શું થાય દાદા ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી શું થાય કે કોઈ મોટો દોષ થયેલો હોય અને સામાને દુઃખ થાય એવો દોષ થયેલો હોય તો 'આપણે' એમને કહેવું પડે કે, 'ભાઈ આવું ના કરો.' અતિક્રમણ કર્યું માટે તમને પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ ના કર્યું હોય, કોઈને દુઃખ થાય એવું, તો કશી જરૂર નહીં.

પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય દાદા ?

દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો આ છૂટવા માટે. પરમાણુ શુદ્ધ ના થાય એનાથી. આ ફરી એ ને એ થઈ જાય. આપણે આત્મા જોવાના. આપણે જોતાની સાથે જ છૂટા થયા. કારણ કે પુદ્ગલ તો ક્લેઈમ કરે છે કે 'તમે આ શુદ્ધાત્મા થઈ ગયા, પણ મારો મોક્ષ નહીં થાય.' 'કેમ ભઈ, આવો શો વાંધો છે ? હું શુદ્ધ થઈ ગયો. મારું સ્વરૂપ જાણી લીધું.' ત્યારે પુદ્ગલ કહે છે, 'તમે મોક્ષે નહીં જાવ. જ્યાં સુધી અમે છોડીએ નહીં ત્યાં સુધી તો તમે શી રીતે જશો ?' ત્યારે કહે, 'ભઈ, તમે શું વાંધો છે ?' ત્યારે પુદ્ગલ કહે, 'તમે જ અમને બગાડ્યા હતા. અમે તો અમારા સ્વભાવમાં હતા. માટે તમે અમને અમે હતા એવા કરી આપો એટલે અમે છૂટાં.' સમજ પડીને ? એટલે શુદ્ધ જોવું. જગત અશુદ્ધ જુએ છે. કારણ કે 'હું કર્તા છું' એ ભાવે કરે છે, સમજાયું ને તમને ? અને આનો કર્તા હું નથી એ ભાવ હવે થયો એટલે એ છૂટા થયા.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું થાય ? એની ઈફેક્ટ શું થાય ? પરમાણુ શુદ્ધ ના થાય એ તમે જ કહ્યું. તો પછી પ્રતિક્રમણથી થાય શું ?

દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે એ 'જોઈએ' ત્યારે જ. આ પ્રતિક્રમણથી ઈફેક્ટમાં શું થાય, કે પેલાને જે દુઃખ થયેલું છે તેની અસર કરી જાય. તે પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એ અસર આપણે બનતા સુધી ન કરવી જોઈએ.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શુદ્ધ થાય એવું થયું કહેવાય ?

દાદાશ્રી : બાધે ભારે કહેવાય.

પુદ્ગલ શું કહે છે કે તમે અમને બગાડ્યા, તમે ચોખ્ખા થયા, હવે અમને ચોખ્ખા કરીને જાવ.

અક્રમમાં પ્રતિક્રમણ, જવાબદારીપૂર્વક....

પ્રશ્નકર્તા : એક અવતાર જોયા કરવાનું તે પ્રતિક્રમણ કરતાં કરતાં જોયા કરવાનું ને ?

દાદાશ્રી : નિરંતર ખ્યાલ રહેવો જોઈએ કે હું કંઈ જ કરતો નથી. નિરંતર ખ્યાલ રહેતો હોય તો પ્રતિક્રમણ ના કરીએ તો ય ચાલે. અમને નિરંતર રહે. જે અમને રહે છે તે જ તમને કહીએ છીએ. અમને કાયમ રહે છે, જ્ઞાન થયા પાછી.

બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. આ જ્ઞાન એવું છેલ્લા પ્રકારનું જ્ઞાન છે કે પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો જેને ગુજરાતી ચાર ચોપડીઓ આવડે, તેને ગ્રેજ્યુએટ બનાવીએ છીએ, ત્યાર પછી વચલા સ્ટાન્ડર્ડનું બધું શું થાય તે ?! એટલે આટલું અમે મૂકેલું વચ્ચે. આટલું અમે અમારી જવાબદારીથી મૂકેલું. નહીં તો આ જ્ઞાનમાં હોય નહીં છતાં અમારી જવાબદારીથી મૂકેલું.

શુદ્ધાત્મા સિવાયનો બધો જ કચરો, એમાંથી એક ક્રમણ, અને બીજું અતિક્રમણ, શુદ્ધાત્માની બહારનું જે જે છે ને બધા જ દોષ છે, ને તેનું પ્રતિક્રમણ કરવું પડે.

અક્રમવિજ્ઞાનની બલિહારી તો જુઓ !!!

પ્રશ્નકર્તા : આપના સ્વમુખે આ ખુલાસો સાંભળ્યો એટલે અમને સંતોષ થયો.

દાદાશ્રી : એટલે આમાં છૂટ્ટા જ છો.

પ્રતિક્રમણ જોડે ને જોડે થાય છે, ત્યાં આગળ પછી હવે કોણ નામ દેનાર છે, બોલો ?

પ્રશ્નકર્તા : અમારે પ્રતિક્રમણ આ દેહથી ક્ષણે ક્ષણે રાત-દા'ડો ચાલુ જ રહે છે. એનાથી હજુ પ્રતિક્રમણની શરૂઆત થાય, ત્યાર પહેલાં તો પેલું અતિક્રમણ અદ્રશ્ય થઈ ગયું હોય.

દાદાશ્રી : આ વિજ્ઞાન છે. એટલે આ વિજ્ઞાન તરત જ કામ કરનારુ છે. આ અક્રમ વિજ્ઞાન છે, આખો સિદ્ધાંત જ છે અને સિદ્ધાંતને જ ફળ આપશે. જેમ ડુંગળીનું એક 'સ્લાઈસ' (પડ) કાપો, તે ડુંગળીના બધા જ ગુણ દેખાડે, એવું આમાંથી એક 'સ્લાઈસ' જ કાપો તો સિદ્ધાંતનું જ ફળ આપશે અને અજ્ઞાનની એક 'સ્લાઈસ' કાપો તો એ અજ્ઞાનનું ફળ આપશે. એક 'સ્લાઈસ' ખાલી, એના ગુણ દેખાડે કે ના દેખાડે ?

આ 'અક્રમ વિજ્ઞાન' છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ 'વિજ્ઞાન' અને કરવાપણું હોય એનું નામ 'જ્ઞાન' !

વિચારશીલ માણસ હોય તેને એવું તો લાગેને, કે આ કશુંય નથી કર્યું આપણે અને શું છે આ ?! એ અક્રમવિજ્ઞાનની બલિહારી છે. 'અક્રમ' ! કમ બ્રમ નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21